-
હૈયામાં હામ
સરયૂ પરીખ
સ્નેહ સરવરમાં આછો નિશ્વાસ, આર્ત દેહલીએ વિલો વિશ્વાસ.
આજ મનડામાં હિમાળો શ્વાસ, ચહે દિલડું હૂંફાળો ઉશ્વાસ.
સખી! હૈયુ બળે ને હામ ઓગળે.કેમ માપું મારા હેતની તનાળ, મારા કોઠાની હૈયા વરાળ!
ભલો મોર્યો’તો આંબાનો કોર, ઝાંય લાગી તે શ્યામળી કરાળ.
સખી! હૈયુ બળે ને હામ ઓગળે.મેં તો કૂવો ઉલેચી કુસુમે ભર્યો, તપ્ત તોરણ તાડપને નીરે ઝર્યો.
બંધ મુઠ્ઠીમાં બાંધ્યો પરપોટો, હાથ ખોલું ને તારો બની સર્યો.
સખી! હૈયુ બળે ને હામ ઓગળે.ગ્રહણ આવ્યું હતું ને સરી ગયું, ઘડીક આવીને કાળજ કોરી ગયું.
કરમ કુંડળીમાં કરતું‘ગ્યું ભાત, આજ આતમમાં ઊજળું પ્રભાત.
સખી! હૈયું હેલે ને હામ ઝળહળે.
કંઈક ખોવાયાની નિરાશા પછી અંતરમંથન અને સ્વાર્થી ઈચ્છાઓને તજી,
ફરી હિંમત જાગૄત કર્યાનો હરખ.તનાળ =સાંકળ ; કરાળ=ભયજનક
સુશ્રી સરયૂ પરીખ – saryuparikh@gmail.com
-
વાદ્યવિશેષ : (૪) – કળવાદ્યો : એકોર્ડીયન [૧]
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
૧૯૫૦ થી ૧૯૭૦ સુધીના અરસાનાં હિન્દી ફિલ્મી ગીતોમાં આ વાદ્યનો ભરપૂર ઉપયોગ થયો છે. આમ તો આ ક્ષેત્રે પાશ્ચાત્ય વાદ્યોનો ઉપયોગ ૧૯૪૦ના શરૂઆતના ગાળામાં જ શરૂ થઈ ગયો હતો. પણ એકોર્ડીયનનો પ્રવેશ પ્રમાણમાં મોડો થયો.
એકોર્ડીયનની કાર્યપધ્ધતિ હાર્મોનિયમ જેવી જ છે. એક છેડે આવેલી ધમણ જેવી રચનાથી વાદ્યના આંતરિક ભાગમાં હવા દાખલ કરવામાં આવે છે, જે અન્ય છેડેથી બહાર નીકળે તેના પરિણામે ધ્વનિ ઉત્પન્ન થાય છે. બહાર નીકળતી હવા ચાંપપટ્ટી/Keyboard માંથી પસાર થાય છે. આ રચનામાં જે તે કળ દબાવવાથી ધાર્યો સૂર વાગે તેવી વ્યવસ્થા હોય છે. નીચેની તસવીરોમાં ધમણ, મુખ્ય ઘટક અને ચાંપપટ્ટી સ્પષ્ટ જોઈ શકાય છે. આ વાદ્યને હાર્મોનિયમથી અલગ પાડનાર રચના બહુ વિશિષ્ટ છે. ડાબી બાજુની તસવીરમાં ધમણની ઉપર કાળાં અને જમણી બાજુની તસવીરમાં સફેદ બટન્સની હારમાળા જોઈ શકાય છે, જેને ‘બાસ બટન્સ’ કહેવામાં આવે છે. આ બટન્સની મદદથી ચોક્કસ સૂર અથવા વિવિધ સૂરોના સંયોજનની અસર નીપજાવી શકાય છે. તે ઉપરાંત વાદનની સાથે સાથે ચોક્કસ લય પણ બટન્સના ઉપયોગ વડે પેદા કરી શકાય છે.
એકોર્ડીયનના મુખ્ય બે પ્રકાર છે. એક, જેમાં કળપટ્ટી બિલકુલ હાર્મોનિયમ જેવી જ હોય છે. તેને પિયાનો એકોર્ડીયન કહેવામાં આવે છે. ડાબી તસવીરમાં એ જોઈ શકાય છે. અન્ય પ્રકારમાં પરંપરાગત ચાંપોની જગ્યાએ બટન્સ હોય છે. એ પ્રકાર બટન એકોર્ડીયન તરીકે ઓળખાય છે. આવો રચનાત્મક ફેર હોવા છતાં તે બેય પ્રકારોમાં કોઈ જ સૈધ્ધાંતિક ભેદ હોતો નથી. માત્ર વગાડવાની પધ્ધતિ અલગ પડે છે.

સામાન્ય રીતે વ્યવસાયિક ધોરણે વગાડી શકાય તેવાં એકોર્ડીયન્સ ૮ થી લઈને ૧૩ કિલોગ્રામ્સ સુધીના વજનનાં હોય છે. વાદક કલાકારની સુવિધા માટે આ વાદ્યના બે સામેસામેનાં પડખે મજબૂત પટ્ટા લગાડેલા હોય છે. વાદક એક એક પટ્ટો પોતાના એક એક ખભા ઉપર લગાડી વાદ્યને ઉંચકી શકે છે અને પછી આસાનીથી વાદન કરી શકે છે.

આ બન્ને પ્રકારનાં એકોર્ડીયન્સ વગાડવાની પધ્ધતિ બે કુશળ વાદકોની ક્લીપ્સ વડે સમજી શકાશે. પહેલી ક્લીપમાં વરિષ્ઠ વાદક અનિલ ગોડે પિયાનો એકોર્ડીયન ઉપર એક લોકપ્રિય ગીત વગાડી રહ્યા છે.
આ ક્લીપમાં એક વાદક બટન એકોર્ડીયન ઉપર પાશ્ચાત્ય ધૂન વગાડી રહ્યા છે.
વાદ્યની રચના અને વાદન પધ્ધતિ વિશે આટલી પ્રાથમિક માહીતિ મેળવ્યા પછી હવે કેટલાંક યાદગાર ફિલ્મી ગીતો સાંભળીએ.
હિન્દી ફિલ્મી ગીતોના વાદ્યવૃંદમાં સર્વપ્રથમ એકોર્ડીયન વાદન કઈ ફિલ્મના કયા ગીતમાં થયું એ ચોક્કસપણે કહી શકાય તેમ નાથી. છતાં એક મત એવો છે કે ફિલ્મ ‘દાસ્તાન’ (૧૯૫૦)માં સંગીતકાર નૌશાદે પહેલ કરી. તે ગીત માણીએ.
અન્ય મત મુજબ ફિલ્મ ‘સમાધિ’ના સદાબહાર ગીત ‘ગોરે ગોરે’ માટે સી. રામચન્દ્રના વાદ્યવૃંદમાં સૌ પહેલી વાર એકોર્ડીયન પ્રયોજાયું હતું. જો કે આ ફિલ્મ સહેજ મોડી પ્રદર્શિત (૧૯૫૧) થતાં યશ નૌશાદને ફાળે ગયો. મહત્વ કયા ગીતમાં એકોર્ડીયન પહેલું પ્રયોજાયું એ નથી, પણ એ યાદ રાખવા જેવું છે કે બેય ગીતોમાં એકોર્ડીયનના ખુબ જ કર્ણપ્રિય અંશો વાગ્યા છે.
એક વાર સફળ પ્રવેશ થયો પછી ફિલ્મોનાં વાદ્યવૃંદોમાં બહુ નિયમિત ધોરણે એકોર્ડીયનનો ઉપયોગ થવા લાગ્યો.
૧૯૫૦માં આવેલી ફિલ્મ ‘જાદૂ’ના એક ગીતમાં એકોર્ડીયનના ટૂકડા ખુબ જ આકર્ષક છે. આ ગીતનું સંગીત નૌશાદે તૈયાર કર્યું હતું. આ ગીત દ્વારા ફિલ્મી સંગીતમાં એકોર્ડીયનનો પ્રવેશ થયો એવું પણ ઘણા માને છે.
૧૯૫૩માં આવેલી ફિલ્મ ‘આહ’નાં બધાં જ ગીતો એકદમ લોકપ્રિય બન્યાં હતાં. તે પૈકીનું એક એકોર્ડીયન પ્રધાન ગીત સાંભળીએ. સંગીતનિર્દેશન શંકર-જયકિશનનું છે.
ફિલ્મ ટેક્સી ડ્રાઈવર’ (૧૯૫૪)ના આ ગીતમાં અદભુત એકોર્ડીયન વાદન છે. સંગીતકાર હતા સચીનદેવ બર્મન.
૧૯૫૭માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘જૉની વૉકર’ બહુ સફળ નહોતી થઈ. પણ તેમાં ઓ.પી.નૈયરનું સંગીત વખણાયેલું. એ ફિલ્મનું એકોર્ડીયનના યાદગાર અંશો ધરાવતું એક ગીત પ્રસ્તુત છે. આ ગીતમાં તાલ આપવા માટે ‘સ્ટીક્સ’ તરીકે ઓળખાતા ઉપતાલવાદ્યની હાજરી પણ સતત ધ્યાન ખેંચતી રહે છે.
ફિલ્મ ‘હાવરા બ્રીજ’(૧૯૫૮)માં ઓ.પી.નૈયરનું સંગીત હતું. તેનાં બે ગીતો (આઈયે મહેરબાં અને મેરા નામ ચીં ચીં ચૂં) એટલાં પ્રસિધ્ધ થઈ ગયાં કે તે જ ફિલ્મનું ખુબ જ પ્રભાવશાળી એકોર્ડીયન વાદન ધરાવતું એક ગીત હાંસિયામાં ધકેલાઈ ગયું. વાદ્યસંગીતના જાણકારોના મતે આ જટિલ ટૂકડાઓ વગાડવા પડકારરૂપ છે અને કોઈ અત્યંત કુશળ કલાકાર જ તે સંપૂર્ણતાથી વગાડી શકે. આ ક્લીપમાં ગૂડી સિરવાઈ કે જેમણે મૂળ ગીતમાં વગાડ્યું છે તે અવારનવાર પરદા ઉપર પણ એકોર્ડીયન વગાડતા નજરે પડે છે.
૧૯૫૮ની જ ફિલ્મ ‘ફીર સુબહ હોગી’ના આ ગીતમાં એકોર્ડીયનના ખુબ જ કોમળ ટૂકડા કાને પડે છે. ફિલ્મના સંગીતકાર હતા ખય્યામ.
કેટલાંક ગીતો સાથે એક વાદ્યનો પ્રયોગ એવી રીતે થાય છે કે તે વાદ્ય ગાયકીનું અવિભાજ્ય અંગ બની રહે. હેમંતકુમારનું સંગીતનિર્દેશન ધરાવતી ફિલ્મ ‘બીસ સાલ બાદ’ (૧૯૬૨)ના આ ગીતમાં મુખડાની ગાયકી સાથે એકોર્ડીયન જાણે કે વણાઈ ગયું હોય એ રીતે વાગતું રહે છે.
૧૯૬૨માં જ પ્રદર્શિત થયેલી રવિના સંગીત નિર્દેશન વાળી ફિલ્મ ‘ચાયના ટાઉન’ના આ ગીતમાં એકોર્ડીયન ઉપરાંત અન્ય વાદ્યો પણ વાગતાં રહે છે. પણ, અંતરાને સમાંતરે વાગતા ‘ઓબ્લીગેટો’ તરીકે ઓળખાતા અંશોમાં માત્ર અને માત્ર એકોર્ડીયનનો જ ઉપયોગ થયો છે. આ ગીતની ક્લીપમાં પણ ફિલ્મી વાદ્યવૃંદના પ્રતિષ્ઠિત વાદક ગૂડી સીરવાઈ અવારનવાર વાદન કરતા નજરે પડે છે.
https://www.youtube.com/watch?v=t7tTei9K0WY
૧૯૬૮ની રાહુલદેવ બર્મનના સંગીતનિર્દેશન વાળી ફિલ્મ ‘પડોસન’ના બનાવેલા આ ગીતમાં એકોર્ડીયનનો એવો અસરકારક ઉપયોગ થયો છે કે તેના તરફ શ્રોતાઓનું ધ્યાન સતત ખેંચાતું રહે.
ફિલ્મ ‘મીનુ’ (૧૯૭૭)ના ખુબ જ જાણીતા ગીતમાં પરદા પર અભિનેતાને હાર્મોનિયમ વગાડતા દર્શાવાયા છે. પણ હકીકતમાં ગીતના વાદ્યવૃંદમાં એકોર્ડીયનનો ઉપયોગ થયો છે. સંગીતકાર છે સલિલ ચૌધરી.
(ક્રમશ🙂
નોંધ :
૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
પુનર્જન્મ/રહસ્ય ગીતો – आयेगा आयेगा आयेगा आनेवाला
નિરંજન મહેતા
આપણી હિંદી ફિલ્મોમાં રહસ્યકથા અને પુનર્જન્મ પર આધારિત કેટલીયે ફિલ્મો બની છે અને તેમાં આવતા ફિલ્મીગીતો પણ તેને અનુરૂપ મુકાયા હોય છે.
આ સંદર્ભમાં ૧૯૪૯ની ફિલ્મ ‘મહલ’ એ કદાચ આ પુનર્જન્મ/રહસ્યકથાવાળી સર્વ પ્રથમ ફિલ્મ ગણી શકાય. આ ફિલ્મનું જે રહસ્યમય ગીત છે તેને આજે પણ યાદ કરતા અને તે સાંભળતા તેની સાથે તાલ મેળવીએ છીએ.
आयेगा आयेगा आयेगा आनेवाला
મધુબાલા પર રચાયેલ આ ગીતના રચનાકાર છે નકશાબ જારવચી અને સંગીત આપ્યું છે ખેમચંદ પ્રકાશે. સ્વર છે લતાજીનો. આ ગીત બાદ લતાજીને બહુ પ્રસિદ્ધિ મળી હતી અને તેમનો સિતારો ચમક્યો હતો એમ મનાય છે.
૧૯૫૮ની ફિલ્મ ‘મધુમતી’ એક પુનર્જન્મને લગતી જાણીતી ફિલ્મ છે જેમાં દિલીપકુમાર પોતાના આગલા પ્રેમની વાત કરે છે અને સમજે છે કે આ જન્મમાં પણ તેને પૂર્વજન્મની પ્રેમિકાનો ભેટો જરૂર થશે.
आजा रे परदेसी
मै तो कब से खडी इस पार
अखिया थक गई पंथ निहारવૈજયંતીમાલા આ ગીતના કલાકર છે. શૈલેન્દ્રનાં શબ્દોને સલીલ ચૌધરીએ સંગીત આપ્યું છે અને સ્વર આપ્યો છે લતાજીએ.
૧૯૬૨ની ફિલ્મ ‘બીસ સાલ બાદ’ પણ બહુ પ્રખ્યાત રહસ્યકથા છે અને તેને અનુરૂપ ગીત પણ મુકાયું છે. બિશ્વજીત પર રચાયેલ આ ગીત હકીકતમાં તેને પોતાની તરફ ખેંચવા વહીદા રહેમાન પર રચાયું છે.
कही दीप जले कही दिल
जरा देख ले आ के परवानेશબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત છે હેમંતકુમારનું. ગાનાર કલાકાર છે લતાજી.
૧૯૬૪ની ફિલ્મ ‘વો કૌન થી’નું ગીત એક રહસ્યમય ગીત છે
जो हमने दास्तां अपनी सुनाई आप क्यों रोये
મનોજકુમારને ઉદ્દેશીને સાધના આ ગીત ગાય છે. ગીતના સબ્દો છે રાજા મહેંદી અલી ખાનના અને સંગીત મદનમોહનનું. ગાયક કલાકાર લતાજી.
૧૯૬૪ની અન્ય ફિલ્મ ‘કોહરા’ એક રહસ્યમય ફિલ્મ છે જેમાં નીચેનું ગીત પાર્શ્વગીત તરીકે મુકાયું છે.
ज़ूम ज़ूम ढलती रात
लेके चली मुझेअपनी साथવહીદા રહેમાન પર રચાયેલ આ ગીત હકીકતમાં તેને ડરાવવા માટે છે. ગીતના શબ્દો છે કૈફી આઝમીના અને સંગીત હેમંતકુમારનું. સ્વર આપ્યો છે લતાજીએ.
૧૯૬૫ની ફિલ્મ ‘ગુમનામ’ રહસ્ય ફિલ્મોમાંની એક ઉત્કૃષ્ટ ફિલ્મ છે. અંગ્રેજી કથાનક પરથી બનેલી આ ફિલ્મનું આ ગીત પણ પાર્શ્વગીત છે જેનું સંગીત રહસ્યનો માહોલ ઉભો કરવામાં પણ સારો એવો ભાગ ભજવે છે.
गुमनाम है कोई बदनाम है कोई
किस को खबर कौन है अनजान यहाँશબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનું. ફરી એકવાર લતાજી આ ગીતના ગાયિકા.
https://youtu.be/Kjyr9JYd3-I
૧૯૬૫ની અન્ય ફિલ્મ ‘પૂનમ કી રાત ‘ પણ એક રહસ્યમય ફિલ્મ છે,साथी रे तुज बिन जिया उदास रे
ये कैसी उन्बुज प्यास रे आजा आजाમનોજકુમારને પોતાની તરફ ખેંચતી કુમુદ છુગાની પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને તેને સંગીત આપ્યું છે સલીલ ચોંધરીએ. સ્વર છે લતાજીનો.
૧૯૬૬ની ફિલ્મ ‘મેરા સાયા’ રહસ્યમય કથાનકવાળી એક અત્યંત પ્રચલિત ફિલ્મ છે
तू जहा जहा चलेगा
मेरा साया साथ होगाસાધનાનાં વિરહમાં સુનીલ દત્ત ઉદાસ હોય છે ત્યારે આ ગીત સાધના દ્વારા રજુ કરાયું છે જેના રચયિતા છે રાજા મહેંદી અલી ખાન અને સંગીત છે મદન મોહનનું. ગાયિકા ફરી એકવાર લતાજી
આ જ ફિલ્મનું અન્ય ગીત છે
नैनो में बदरा छाये बिजली सी चमके हाये
ऐसे में बालम मोहे गरवा लगा लेવિગતો ઉપર મુજબની
૧૯૬૭ની ફિલ્મ ‘મિલન’ પુનર્જન્મને લગતી ફિલ્મ છે જેનું આ ગીત બે વાર આવે છે
हम तुम युग युग से
गीत मिलन के गाते चलेસુનીલ દત્ત અને નૂતન પર રચાયેલ આ ગીતનાં શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે મુકેશનો.
૧૯૬૭ની અન્ય ફિલ્મ ‘રાઝ’નું આ ગીત પણ ફિલ્મના નામ મુજબ રહસ્યમય અર્થમાં આવે છે.
अकेले है चले आओ जहाँ हो
કલાકાર છે રાજેશ ખન્ના. શમીમ જયપુરીના શબ્દોને કલ્યાણજી આણંદજીએ સંગીત આપ્યું છે અને ગાયક કલાકાર છે રફીસાહેબ
https://youtu.be/IkrLvHqMv4A
૧૯૬૭ની વધુ એક રહસ્યમય ફિલ્મ છે ‘અનીતા’.तुम बिन जीवन कैसे बिता
पूछो मेरे दिल से.ફરી એકવાર સાધના મનોજકુમારની જોડી આ ગીતમાં દેખાય છે. કલ્યાણજી આણંદજીએ રાજા મહેંદી અલી ખાનનાં શબ્દોને સંગીત આપ્યું છે અને તેના ગાયક છે મુકેશ.
આ જ વિષયના વધુ ગીતો આવતા મહીને.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
પેરન્ટ : પૂરક કે પોષક
ચેલેન્જ.edu
રણછોડ શાહ
શાળા સમાજની લઘુ આવૃત્તિ છે. દરેક કટુંબ એક અવૈધિક શાળા છે. પ્રત્યેક શાળા વિદ્યાર્થીનું બીજું ઘર છે. શાળા અને ઘર એક સિક્કાની બે બાજુઓ જેવાં છે. શાળાએ કુટુંબમાં રહેલ વાલીને પૂરક બનવાનું છે, તો વાલીએ બાળકના વિકાસમાં સહાયરૂપ ભૂમિકા ભજવવાની છે. આ સંજોગોમાં શાળા અને વાલીએ એકબીજા સાથે તાલમેલ રાખવો જરૂરી જ નહીં, અત્યંત આવશ્યક છે. જ્યારે બંનેએ કદમથી કદમ મિલાવીને ચાલવાનું હોય ત્યારે એકબીજાના ગમા-અણગમા ભૂલી જઈને ‘ગમતાનો ગુલાલ’ કરવાનો છે. શાળાનો વિકાસ વાલીની મદદથી જ થઈ શકે. શાળા સારી હશે તો તે સંતાનને જ ઉપયોગી બનવાની છે. તેવી સીધી સમજ વાલીમાં હોય તે આવકારદાયક છે.
ઘેર પાલ્યના વાલી એક શિક્ષક છે. શાળામાં વિદ્યાર્થીના શિક્ષક તેના વાલી પણ છે. આ રીતે જોઈએ તો વાલી અને શિક્ષક વચ્ચે મધુર સંબંધ હોય તો જ બાળકની પ્રગતિ શક્ય બને. શાળાના સંચાલકોએ વાલીઓને માત્ર નામ-ઠામથી જ ઓળખવાના નથી, પરંતુ શાળામાં સદાય તેમનું સ્વાગત છે તેવો અહેસાસ કરાવવાનો છે. પ્રત્યેક વાલી શાળાની પસંદગી કરે ત્યારે તો તે શાળા તરફ સંપૂર્ણપણે હકારાત્મક જ હોય છે. શાળા વિશે સમાજમાંથી માહિતી પ્રાપ્ત કરીને જ બાળકનો પ્રવેશ લે છે. વાલી શાળા પાસે ખૂબ મોટી આશા અને અપેક્ષા સાથે આવે છે. તેને શાળાની ફિલોસોફી સાથે સહમતી હોય ત્યારે જ તે શાળા પસંદ કરે છે.
શાળામાં આવતાં બાળકોના વાલીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં વિવિધતા હોય છે. વાલીઓ જુદીજુદી લાયકાતો ધરાવતા હોય છે. કેટલાકે ઉચ્ચ અભ્યાસ કરેલો હોય છે. તો અશિક્ષિત કે અર્ધશિક્ષિત વાલી પણ હોઈ શકે. વેપારી વાલી શાળામાં બાળકના પ્રવેશ માટે આવે, તો કયારેક નોકરિયાત પણ બાળકને શાળામાં દાખલ કરવા આવતા હોય છે. વાલીઓની આર્થિક સ્થિતિ પણ બહુ મોટો તફાવત હોય છે. શાળામાં આવતા વાલીઓ અલગ–અલગ જ્ઞાતિ, જાતિ કે ધર્મના હોય તે સ્વાભાવિક છે. આ તમામ તફાવતોની વચ્ચે શાળાએ વાલીઓને એકસૂત્રતાથી બાંધી સૌને સાથે રાખવાના હોય છે. બધા વાલીઓ સાથે એક સરખો સંબંધ અને વર્તણૂક રાખવાની સંપૂર્ણ જવાબદારી શાળાની છે. શાળાએ પ્રત્યેક વાલીને સમદૃષ્ટિએ જોવાના છે. અહીંયાં ભેદભાવથી મુક્ત સંબંધ બંધાય તે પાયાની શરત છે.
બાલમંદિરમાં પ્રવેશ માટે આવે ત્યારથી લગભગ ૧૨ થી ૧૪ વર્ષ સુધી વાલીનો શાળા સાથે સંબંધ જોડાય છે. જીવનનાં સક્રિય વર્ષોની લંબાઈની દૃષ્ટિએ જોઈએ તો આ સમય જિંદગીના લગભગ ૧૫ થી ૨૦ ટકા જેટલા સમયગાળા માટે હોય છે. તે સંજોગોમાં બંને પક્ષે સમભાવ અને સહકાર હોય તે આવશ્યક છે. લાંબા અનુભવે સમજાયં છે કે પ્રત્યેક વાલી શાળાને મદદરૂપ થવા હંમેશા તત્પર જ હોય છે. ઍમિટી શાળામાં પચીસ વર્ષ પહેલાં ઉચ્ચતર માઘ્યમિક વિભાગ શરૂ થયો ત્યારે સાધનો ખૂબ ટાંચા હતા. આ વિભાગની શરૂઆત કરી ત્યારે શાળા સ્થાપનાને પણ માંડ પાંચ વર્ષ થયા હતા. વિજ્ઞાનપ્રવાહની શરૂઆત એટલે સૌ પ્રથમ પ્રયોગશાળા બનાવવાની જવાબદારી શાળાના પક્ષે આવે છે. જુલાઈ માસમાં પરવાનગી મળી હતી, તેથી સમય પણ ઓછો હતો. ઉચ્ચતર માઘ્યમિક વિભાગનું પ્રથમ વર્ષ હોવાથી માંડ ચોત્રીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. વાલીઓ વિજ્ઞાન પ્રવાહમાં ખૂબ કાળજીપૂર્વક પ્રવેશ લેતા હોય છે. કારણ કે અહીંયાંથી જ કારકિર્દીની પસંદગી કરવાની શરૂઆત થતી હોય છે.

વાલીઓની સભા બોલાવી શાળા કઈ રીતે કાર્ય કરશે તેની સમજ આપવામાં આવી તથા તાત્કાલિક પ્રયોગશાળાની કામગીરી પૂર્ણ કરવાની રજૂઆત પણ કરી. પ્રયોગશાળા માટેનાં સાધનો તો ખરીદી કરીને લાવી શકાય પરંતુ ફર્નિચરનું શું? તે બાબતે મદદ કરવા વિનંતી કરી. એક વાલી તુરંત જ ઊભા થયા અને જણાવ્યું કે તેઓ તે જવાબદારી પોતાના શિરે લે છે. સભા બાદ વ્યકિતગત રીતે મળ્યા તો ખબર પડી કે તેઓ ફેબ્રિકેશનનું કાર્ય કરે છે. પ્રયોગશાળાના ટેબલની ડિઝાઈન તેમને બતાવવામાં આવી. લાકડાના પાટીયાંની સાઈઝ અને લોખંડના એંગલની ડિઝાઈન તેઓએ નક્કી કરી નાખી. માત્ર સાત દિવસમાં બધો સામાન આવી ગયો. વાલીશ્રી તેમના કારીગરોને લઈને શાળામાં આવી ગયા. તેઓએ રાતદિવસ જોયા વિના પ્રયોગશાળાના ટેબલો તૈયાર કરી નાંખ્યા. રસાયણશાસ્ત્રની પ્રયોગશાળામાં બેન્ચ અને ટેબલ રિએજન્ટ માટેના લોખંડના ઘોડા બનાવી ટેબલ ઉપર ફિટ કરી દીધા. વાલીશ્રીએ જાતે જમીન ઉપર બેસી લાકડાના ટેબલ ઉપર લોખંડના ઘોડા ફિટ કરી સૌને ગદગદિત કરી દીધા. જિંદગીપર્યત તેઓ શાળાનું અવિભાજ્ય અંગ બની ગયા. આજે પણ એ પ્રસંગ યાદ આવે તો રોમાંચ થાય છે.
શાળા સંચાલકોની જવાબદારી માત્ર શિક્ષણ જ આપવાની નથી. વાલીઓ સાથે માનવીય વ્યવહાર કરવાનો અને સૌહાર્દપૂર્ણ સંબંધો પણ કેળવવાના હોય છે. શાળાના તમામ વિદ્યાર્થીઓને સમદૃષ્ટિએ નિહાળવાના હોય છે. કોઈની પણ સાથે ભેદભાવયુકત વ્યવહાર ન થાય તેની કાળજી રાખવાની હોય છે. શિક્ષકોના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોને કારણે શાળાની પ્રતિષ્ઠા વધવા લાગી. ઉચ્ચ ગુણવાળા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ લેવા લાગતાં વાલીઓનું સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્તર બદલાયું. એક દિવસ એક વાલી સભા ચાલી રહી હતી. સૌ સૂચનો કરતાં હતાં. તેમાં એક વાલી બાજુ ઉપર શાંતિથી બેસી રહ્યા હતા. ખાસ શિક્ષણ મેળવ્યું હોય તેવં લાગતું નહોતું, પરંતુ તેમનો ચહેરો તેમની નિખાલસતાને પ્રદર્શિત કરતો હતો. તેમની સાથે વાર્તાલાપ કરવાનું સભા ચાલતી હતી ત્યારે મનોમન નક્કી કરી લીધું હતું. સભા પૂર્ણ થયા બાદ તેમની પાસે જઈ ખબરઅંતર પૂછયા. તેમના સંતાનના અભ્યાસ બાબતે ચર્ચા કરી. તેઓએ જણાવ્યું કે તેઓ તો બહુ ભણ્યા નથી પરંતુ તેમની દીકરી સારું ભણે માટે આ શાળા પસંદ કરી છે. વિદ્યાર્થીની પણ બહુ તેજસ્વી નહોતી. અલબત્ત, મહેનતુ, નિયમિત અને સ્નેહાળ જરૂર હતી. અમે શકય તે તમામ મદદ કરવાનું વચન આપ્યું. તેમની આંખમાં આનંદના અશ્રુ ઉભરાઈ આવ્યાં. તેઓએ ધીરજથી સંકોચાતાં સંકોચાતાં પૂછ્યું કે શાળાને તેઓ કઈ રીતે મદદ કરી શકે? આર્થિક રીતે તો શકય નથી તેમ તેમણે જણાવ્યું. તેઓએ અત્યંત નમ્રતાપૂર્વક પણ સંપૂર્ણ લાગણીસહ જણાવ્યું કે પોતે ધોબીનો વ્યવસાય કરે છે. શાળાના સ્ટાફરૂમમાં જે ટેબલ ક્લોથ વાપરવામાં આવે છે તે તથા રસાયણ શાસ્ત્રની પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓ જે એપ્રન પહેરે છે તેને સમયાંતરે ધોઈ આપશે. અલબત્ત, તેઓ તેને માટે કોઈપણ પ્રકારનું મહેનતાણું સ્વીકારશે નહીં તેવી સ્પષ્ટતા બે હાથ જોડીને કરી ! સૌની પાંપણો ભીની થઈ ગઈ. જે શાળાને વાલીનો ઉત્તમ સહકાર પ્રાપ્ત થાય તે જ શાળા પ્રગતિ કરી શકે અને સમાજમાં સ્વીકૃત બની શકે.
ખુદને જરા જોવાય ને, ત્યારે જીવાય છે!
સંવાદ ખુદથી થાય ને, ત્યારે જીવાય છે!
પીડ પરાઈ સાવ પોતીકી જણાય ને;
ભીતર જરા ભીંજાય ને, ત્યારે જીવાય છે!</br/>
‘છાંયો મળે છે’ એમ ક્યાં વૃક્ષો લખે કદી?
એમ જ કશું વ્હેંચાય ને, ત્યારે જીવાય છે.દક્ષા બી. સંઘવી
વાલી અને શાળા વચ્ચે ઉત્તમ સંબંધો ત્યારે જ બને કે જ્યારે બંને એકબીજા સાથે નિખાલસ બને. છેલ્લા થોડાક વર્ષોમાં શિસ્તના પ્રશ્નો વઘ્યાં છે. બાળકો વહેલા મોટાં થઈ રહ્યાં છે. ડિજિટલ ઉપકરણોની સુવિધાને કારણે જાતીયતાની સમસ્યાઓ રોજિંદો ક્રમ બની રહી છે. બહુ જ ઓછા વાલીઓ સંતાનની મર્યાદા સમજવા અને સ્વીકારવા તૈયાર હોય છે. આ સંજોગોમાં પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ન હોય તો શાળામાં રોજ મહાભારત સર્જાય. આ સસયે વાલી અને શિક્ષકનો એકબીજા ઉપરનો ભરોસો ખૂબ ઉપયોગી બને છે. સમસ્યાજનક પ્રશ્નો ઉદ્ભવે ત્યાર પહેલાં જ એકબીજાને અવૈધિક રીતે મળવાનું થતું હોય તો ‘આઈસ બ્રેકીંગ’ ખૂબ સરળ બની જાય છે. એક સનાતન વાકય છે : ‘જ્યારે જેની જરૂર નથી ત્યારે તેને મળીએ તો જરૂર પડ્યે મળવામાં સંકોચનો અનુભવ થશે નહીં.”

મોટાભાગની શાળાઓ વાલીસભા ટાળવાનો પ્રયત્ન કરે છે. કારણ કે સભામાં કોઈ વાલી ગમે તેમ બોલે તો વાતાવરણ બગડી જતાં બિનજરૂરી ઘર્ષણ પેદા થઈ જાય છે. કેટલેક અંશે આ વાત સાચી પણ છે. પરંતુ કાલ્પનિક ભયને કારણે વાસ્તવિકતાથી કેવી રીતે ભાગી છૂટાય. જો વાલીઓને વિશ્વાસમાં લેવામાં આવે તો એક વાલી ગુસ્સે થઈ અયોગ્ય વાત કરતા હોય તો અન્ય વાલી તેમને સમજાવે છે. વાલીઓને બોલાવી તેમના દ્વારા વાલીસભાનું સંચાલન થાય તેવું પણ ગોઠવી શકાય. આ સમય દરમિયાન શાળાની કોઈ મર્યાદા જાહેર થાય તો શાળાએ તેનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. ભવિષ્યમાં તે બાબતે કેવા પગલાં લેવામાં આવશે તેની જાહેરાત કરવી જોઈએ.
એક વખત વાલીસભામાં માત્ર પ્રશ્નો કહેવા જ વાલીઓને બોલાવ્યા હતા. તેઓએ તેમની તથા પાલ્યોની મશ્કેલી સભામાં રજૂ કરી. શાળાએ તે નોંધ લીધી. છ માસ બાદ તેમને રજૂ કરેલ સમસ્યાઓના ઉકેલની માહિતી પરિપત્ર દ્વારા આપવામાં આવી. જે સમસ્યોઓના ઉકેલ આવ્યા હતા તેની જાણ કરી. કેટલાક પ્રશ્નો શાળા સંચાલક મંડળની મર્યાદા બહારના હોવાથી તેનો તાત્કાલિક ઉકેલ આવી શકે તેમ નથી તેની પણ લેખિત જાણ કરી.
પપ્પા પોતાના વ્યવસાયમાં અત્યંત વ્યસ્ત હોવાથી તેઓ ઈચ્છે તો પણ વાલીસભામાં આવી શકતા નથી. માતાઓમાં શિક્ષણનં પ્રમાણ વધ્યું છે એટલે વાલીસભામાં બહુ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત હોય છે. આ બહેનો સાથે ઘરોબો કેળવવા શાળામાં ‘માતાઓની કલબ’ (Mother’s club) ની સ્થાપના કરી છે. આ મમ્મીઓ માટે વ્યકિતત્વ વિકાસના વર્ગો, અંગ્રેજી બોલચાલના વર્ગો, રમત-ગમત સ્પર્ધા કે રસોઈ કળાના વર્ગો વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરી તેમને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરવા જેવો છે.
એક વખત શાળામાં સરકારી સેમિનાર હતો. તેમાં નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવાનો હતો. માર્ચ માસ હોવાથી વિદ્યાર્થીઓની મદદ લઈ શકાય તેમ નહોતી. શાળાના શિક્ષક ભાઈ-બહેનોએ વાલીઓની મદદથી કાર્યક્રમ રજૂ કરતાં એકબીજાની નજીક આવવાનું સરળ બની ગયું.
શાળા સંનિષ્ઠ પ્રયત્નો કરે તો વાલીઓ ચોક્કસ જ મદદરૂપ બને છે. શાળાનું આ અવિભાજ્ય અંગ શાળાની મોટી મૂડી છે. વાલીઓ પણ સમાજસેવાના કામમાં મદદરૂપ થવા તૈયાર જ હોય છે. પ્રત્યેક વ્યકિતમાં કંઈક ને કંઈક સારાપણું હોય જ છે. તેને બહાર લાવવા શાળાએ પ્રયત્નશીલ રહેવાનું હોય છે. શાળા-કુટુંબના સહિયારા પ્રયત્નથી જ વિદ્યાર્થીઓના વિકાસના ઉચ્ચતમ શિખરો સર કરી શકાય.
આચમન:
સાર્થક બને છે જીવવું પણ મોતી છીપનું,
એક બુંદમાં સૌ સત્ત્વ સાગરનું ભરી જવું,
બીજી વળી જીવનમાં આકાંક્ષા ય હોય શું,
ઊગી, ખીલી, મહેંકી અને છેવટે ખરી જવું!ગૌતમ વકાણી
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
(તસવીર નેટ પરથી)
-
બાળ ગગન વિહાર – મણકો ૧૮ – વાત અમારી ડુલસેની
શૈલા મુન્શા
“પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા,ક્યાંક પંખી ટહુક્યુંને તમે યાદ આવ્યા”હંસાબેન દવેના સુમધુર કંઠે ગવાયેલું આ ગીત ભલે જેને યાદ કરીને હરિન્દ્રભાઈએ લખ્યું હોય પણ મને મારા નાનકડાં પંખીડા યાદ આવી ગયા જે બે ત્રણ વર્ષ અમારી પાસે રહી ઊડી જાય.રવિવારની સવારે અમારા હ્યુસ્ટનમાં એક કલાક ગુજરાતી કાર્યક્રમ આવે છે, અને જુના નવા ગુજરાતી ગીતો સાથે દર વખતે કોઈ ખાસ વિષય પર વાર્તાલાપ થતો હોય. આજે રેડિયો ચાલુ કર્યો અને વાતનો વિષય હતો સ્પેસિઅલ નીડ બાળકો અને અમેરિકામાં એમને મળતી સગવડો.આવી જ એક પંખિણી ડુલસે મને યાદ આવી ગઈ.આજે મારે મારા ક્લાસની નટખટ, તોફાની અને સાથે સાથે ખુબ ચબરાક એવી ટેણકી ડુલસેની વાત કરવી છે. લગભગ ત્રણ વર્ષ પહેલાં સ્કુલના અંતભાગમાં એટલે કે માર્ચની શરૂઆતમાં એ અમારા ક્લાસમાં આવી. જેવા ત્રણ વર્ષ પુરા થયા ને ડુલસે દાખલ થઈ. અમેરિકામાં દિવ્યાંગ બાળકોને સ્કૂલમાં ત્રણ વર્ષ પૂરાં થાય અને દાખલ કરી શકાય જેથી આ બાળકોને વિશેષ સવલતો જેવી કે સ્પીચ થેરપીસ્ટ, ફીઝીકલ થેરાપી જેવી સગવડ મળવા માંડે. ડુલસે નાનકડી સ્પેનિશ છોકરી, નાનુ મોઢું ને સાવ હલકી ફુલ્કી. અંગ્રેજી ખાસ આવડે નહિ. એના ડાબા હાથમાં થોડી તકલીફ અને જીભ થોડી થોથવાય, એ કારણસર એ અમારા ક્લાસમાં.(ફિજીકલ એન્ડ સ્પીચ ડીસએબીલીટી).જ્યારે આવી ત્યારે દેખાવમાં ટેણકી પણ સ્વભાવે જમાદાર. નાની અમસ્થી પણ બધાને ભારે પડે. પહેલા દિવસથી જ જરા પણ ડર નહિ, જરાયે અજાણ્યું ન લાગે, વાતવાતમાં હાથ ઉપડે. ખાસ તો રમતના મેદાનમાં. બે વેંતની છોકરી, પણ એનાથી મોટા છોકરાઓ વચ્ચે રમવા પહોંચી જાય અને કોઈ જરા એને હાથ લગાડે તો સામો જવાબ મળી જ જાય.ધીરે ધીરે ક્યારેક સમજાવટથી તો ક્યારેક સખત થઈને એની એ આદત અમે છોડાવી. ડુલસે જેટલી હોશિયાર બાળકી અમે જોઈ નથી. નવુ શીખવાની ધગશ એટલી કે ક્લાસમાં જેટલી પ્રવૃતિ કરાવીએ એમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે. સંગીત એને ખુબ ગમે અને જેટલા બાળગીત ગવડાવીએ એ બધા પુરા અભિનય સાથે ગાવાની કોશિશ કરે, અંગ્રેજી પણ ઝડપભેર શીખવા માંડી.એની એક ખાસિયત. જ્યારે પણ એને ગુસ્સો કરીએ એટલે મમ્મી મમ્મી કરીને રડવા માંડે પણ બે જ મિનિટમાં આવીને અમારી સોડમાં ભરાય, અમે જાણી કરીને એને દૂર કરીએ તો એવું મીઠું હસીને લાડ કરે, અથવા કોઈનુ પણ નામ આપી અમારૂં ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ કરે. “મુન્શા ડેનિયલએ મને માર્યું” અમને ખબર હોય કે ડેનિયલ તો એનાથી દૂર બેઠો છે, પણ એટલું કહીને એવું ખિલખિલ હસી પડે કે અમારો ગુસ્સો પળમાં ગાયબ કરી દે.ડુલસેની પ્રગતિ જોઈ અમે બીજા વર્ષે એને બે કલાક માટે સામાન્ય બાળકોના ક્લાસમાં મોકલવાનું નક્કી કર્યું. થોડા દિવસ તો ઠીક ચાલ્યું, પછી ફરિયાદ આવવા માંડી, ડુલસે જમવાના સમયે કાફેટેરિઆમાં થી ભાગી જાય છે, ક્લાસમાં બાજુમાં બેસેલા બાળકની પેન્સિલ છીનવી લે છે, કોઈવાર મારવાનો પ્રયાસ કરે છે, વગેરે વગેરે….તરત જ કાઉન્સલિંગ શરૂ થયું અને નિદાન આવ્યું કે ડુલસે A.D.H.D.(Attention-Deficit/Hyperactivity Disorder.) બાળકી છે. આ બાળકો જેને આપણે ધ્યાન બહેરા કહીએ એવા હોય. પોતાનુ ધાર્યું થવું જ જોઈએ. કોઈ એમના પર ધ્યાન ન આપે તો ધ્યાન ખેંચવા અવનવી હરકતો કરે, માટે જ તો આ બાળકો અનોખા હોય છે.અમારા ક્લાસમાં લગભગ દસ થી બાર બાળકો હોય, જ્યારે સામાન્ય બાળકોના ક્લાસમાં પચ્ચીસ જેટલા.હવે તમે જ કહો, શિક્ષક ક્યાંથી વ્યક્તિગત ધ્યાન દરેક વખતે કેવી રીતે આપી શકે?ધીરે ધીરે સમજાવટ,સારા વર્તનનો શિરપાવ મળવાની એક બાંહેધરી થી ડુલસેમાં ઘણુ પરિવર્તન જોવા મળ્યું. વધુ સમય નિયમિત ક્લાસમાં રહેવા માંડી. આવતા વર્ષથી એ નિયમિત પહેલા ધોરણની વિધ્યાર્થીની બની જશે. ગઈકાલના બનાવે મને ભૂતકાળ યાદ કરાવી દીધો. હું ને ડુલસે કોમ્પ્યુટર પર બાળકોની કોઈ વેબસાઈટ ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, વારંવાર ક્લીક કરવા છતાં વેબસાઈટ ખુલતી નહોતી. ડુલસે મને કહી રહી હતી “Wait Ms. Munshaw, wait Ms. Munshaw, ઘણીવાર થોડી રાહ જોવી પડે, પણ મારી ધીરજ નહોતી રહેતી, આખરે ગુસ્સામાં ડુલસે બોલી ઊઠી “Do you know WAIT”ડુલસેનુ આ રૂપ અને એની ધીરજે મને ત્રણ વર્ષ પહેલાની ડુલસે યાદ આવી ગઈ, ક્યાં તોફાની ડુલસે અને ક્યાં આજની ઠાવકી, ઠરેલ ડુલસે !!!!!!કેટકેટલા અનોખા બાળકો સાથે રહેવાનો, એમની સાથે સ્વનો વિકાસ કરવાનો અદ્ભૂત મોકો મને સાંપડ્યો છે!! આ દિવ્યાંગ બાળકોને યોગ્ય દોરવણી મળે તો એમની પ્રતિભા કેવી ખીલી ઊઠે છે એનો અનુભવ મને હમેશ થયો છે અને એમની નિર્દોષતાએ મને જીવવાનુ બળ આપ્યું છે!!!અસ્તુ,
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com
-
કોઈનો લાડકવાયો (૧૨) ઓડીશાનો પાઇકા વિદ્રોહ
દીપક ધોળકિયા
૧૮૧૭માં ઓડીશામાં અંગ્રેજી શાસન વિરુદ્ધ આગ ભડકી ઊઠી અને તે છૂટક છૂટક ૧૮૩૬ સુધી સળગતી રહી. ૧૮૦૩માં ઈસ્ટ ઇંડિયા કંપનીએ ઓડીશામાં પ્રવેશ કર્યો. એ જ વખતથી એની સામે વિરોધ શરૂ થઈ ગયો હતો. ખુર્દાના ગજપતિ રાજાના દરબારમાં જયકૃષ્ણ મોહાપાત્રા રાજગુરુ મુખ્ય પુરોહિત હતા. એ જયી રાજગુરુ તરીક ઓળખાતા. એમણે મરાઠાઓ સાથે મળીને કંપનીને પડકાર ફેંકવાનું નક્કી કર્યું. પણ એમની યોજના છતી થઈ ગઈ. અંગ્રેજોના દબાણ નીચે રાજાએ એમને દરબારમાંથી પાણીચું પકડાવી દીધું અને અંગ્રેજોએ એમને પકડી લીધા. એમની સામે કેસ ચાલ્યો અને ૧૮૦૬ની છઠી ડિસેમ્બરે એમને મોતને ઘાટે ઉતારી દેવાયા. એ માત્ર ફાંસી નહોતી. કંપનીના અધિકારીઓ યાતના આપવાની મઝા પણ લૂંટવા માગતા હતા એટલે એમના પગ એક ઝાડની બે દૂર દૂરની ડાળીએ બાંધ્યા અને પછી ડાળીઓને છોડી દીધી, જયી રાજગુરુનું શરીર આમ બે ભાગમાં ચિરાઈ ગયું.
ઓડીશામાં આમ ભારેલો અગ્નિ હતો. આ પાશવી હત્યાના પડઘા દૂર દૂર સુધી પડ્યા. લોકોમાં અરેરાટીની લાગણી હતી. એ જ વખતે અંગ્રેજોએ પોતાની નવી મહેસૂલ નીતિ લાગુ કરી. પાઇકાઓ આમ તો ખેડૂતો હતા, પણ સામાન્ય ખેડૂતો નહીં, ગજપતિ રાજવંશના રાજાઓ એમને સૈનિક તરીકે રાખતા. એમને હથિયારો પણ આપ્યાં હતાં. લડાઈ હોય ત્યારે પાઇકાઓ રાજાના સૈન્યમાં જોડાય અને તે સિવાય શાંતિના કાળમાં ખેતી કરે. એમની જુદી જુદી શ્રેણીઓ હતી, જેમ કે, એક દળ ખાંડા-ઢાલ દળ હતું. આમ હથિયારો તો એમની પાસે હતાં જ. નવી મહેસૂલ નીતિ વિરુદ્ધ એમનો વિદ્રોહ એવો જોરદાર હતો ને બે-ત્રણ વર્ષ પહેલાં ઓડીશા સરકારે પાઇકા વિદ્રોહને પહેલા સ્વાતંત્ર્યસંગ્રામ તરીકે માન્યતા આપવાની માગણી કરી હતી.

૧૮૧૭ના માર્ચમાં પાઇકાઓ ખુર્દા શહેરમાં જગબંધુ બિદ્યાધર મોહાપાત્રાની આગેવાની હેઠળ એકત્ર થયા. ખુર્દાના છેલ્લા રાજા મુકુંદ દેવ અને બીજા રાજાઓનો પણ સાથસહકાર મળ્યો. મુકુંદ દેવનાં રાજપાટ કંપનીએ ૧૮૦૪માં જ છીનવી લીધાં હતાં. અંગ્રેજોએ એમને પણ પકડી લીધા. એમનું જેલમાં જ ૧૮૧૭માં મૃત્યુ થયું.
જગબંધુએ ૪૦૦ કાંધ (અથવા કોંધ) આદિવાસીઓને પણ વિદ્રોહમામ જોડ્યા અને ખુર્દામાં અંગ્રેજોની સત્તાનાં પ્રતીકો – કોર્ટકચેરીઓ, પોલીસ સ્ટેશનો અને સરકારી ઑફિસોને આગ લગાડી દીધી. કટકના મૅજિસ્ટ્રેટ ઈમ્પીએ લેફ્ટેનન્ટ કર્નલ ફારિસની સરદારી નીચે એક ટુકડી મોકલી પણ વિદ્રોહીઓ સાથેની લડાઈમાં ફારિસ પોતે જ મર્યો ગયો અને કંપનીને પીછેહઠ કરવી પડી. બળવાખોરોને દબાવી દેતાં એક મહિનો લાગી ગયો. જગબંધુ પોતાના સાથીઓ સાથે જંગલમાં ભાગી ગયા અને ત્યાંથી છૂટાચાવાયા હુમલા કરતા રહ્યા. અંતે જો કે કંપનીએ કબજો કરી લીધો પણ જગબંધુ છેક ૧૮૨૫માં પકડાયા અને ૧૮૨૯માં જેલમાં જ એમનું મૃત્યુ થઈ ગયું.
પરંતુ પાઇકાઓનો રોષ શાંત ન થયો. ૧૮૫૭માં પણ ઓડીશામાં વિદ્રોહીઓ માથું ઊંચક્યું. એમાં સંબલપુરના વિદ્રોહના નેતા વીર સુરેંદ્ર સાઈનું નામ આગળપડતું છે. એમના એક સાથી માધો સિંઘના ત્રણ પુત્રો અંગ્રેજો સામે લડતાં માર્યા ગયા અને મોટા પુત્રને જનમટીપ આપવામાં આવી. માધો સિંઘની પૌત્રીનો પતિ પણ શહીદ થયો, માધો સિંઘને પણ ૧૮૫૮માં ફાંસી આપવામાં આવી. એ વખતે એ ૭૨ વર્ષના હતા.
ઓડીશામાં આ અરસામાં કાંધ આદિવાસીઓએ બે વાર બળવા કર્યા. એમના નેતાઓ હતા, ડોરા બિસોઈ અને ચક્ર બિસોઈ.
ઓડીશાના આ બધા વીરોને શ્રદ્ધાંજલિ આપીએ.
000
દીપક ધોળકિયા:
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી -
મરવું હોય એ મરો, પણ અમારું તરભાણું ભરો
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
મૃત્યુ પ્રત્યેક મનુષ્યની નિયતિ છે, પણ તે કયા સમયે અને કયા સ્વરૂપે આવી પહોંચશે એની જાણ હોતી નથી, એટલે તેનો ડર લાગતો હોય છે. યમદૂત ઘણી વખત સાવ અણધાર્યા સ્વરૂપે આવી પહોંચતો હોય છે. જેને આપણે જીવનદાતા માની બેઠા હોઈએ એ પણ ક્યારેક યમદૂત નીકળે એમ બનતું હોય છે.
પશ્ચિમ આફ્રિકાના ગામ્બિયા દેશમાં બેએક મહિના અગાઉ એક દુર્ઘટના પ્રકાશમાં આવી. છેલ્લા ત્રણેક મહિનામાં ૬૬ જેટલાં બાળકો કિડનીની બિમારીને કારણે મૃત્યુ પામ્યાં. આ મામલો જરા વિચિત્ર હતો. આથી તેના કારણની તપાસ ચાલી. એમાં નિદાન થયું કે તાવ માટે ઉપયોગમાં લેવાતા પેરાસીટામોલનું સિરપ પીધા પછી આ બાળકોની કિડની પર અસર થઈ હતી. દવા વિશેની સામાન્ય સમજણ ધરાવનાર પણ જાણે છે કે પેરાસીટામોલનો ઉપયોગ આપણે લોકો સાવ સામાન્યપણે કરતા હોઈએ છે. એ લેવા માટે ડૉક્ટરને પૂછવાની સુદ્ધાં જરૂર નથી જણાતી. પણ આવી, પ્રમાણમાં ‘નિર્દોષ’ ગણાતી દવાએ બાળકોની કિડની પર અસર કરી અને તેઓ મરણને શરણ થયાં. આમ તો આ મામલો ગામ્બિયા જેવા દૂરદેશાવરનો હોવાથી આપણાં પ્રસાર-પ્રચાર માધ્યમોમાં ભાગ્યે જ ચમકત, છતાં એમ થયું. કારણ? કારણ એ કે પેરાસીટામોલનું જે સીરપ બાળકોનાં મૃત્યુનું કારણ બન્યું હતું એનું ઉત્પાદન એક ભારતીય કંપની દ્વારા કરવામાં આવ્યું હતું, અને તેની નિકાસ કરવામાં આવી હતી.
દિલ્હીસ્થિત ‘મેઈડન ફાર્માસ્યુટિકલ્સ લિ.’ નામની કંપનીનું આ સીરપ જીવલેણ શી રીતે બની ગયું? ગામ્બિયાના સત્તાધીશોએ કામચલાઉ ધોરણે તમામ પ્રકારનાં પેરાસીટામોલ સીરપની આયાત અને વેચાણને બંધ કરવાનો આદેશ આપ્યો. તમામ ફાર્મસીમાંથી તેમજ ઘરોમાંથી પણ આ દવાને પાછી ખેંચવાના આદેશ અપાયા. આ દુર્ઘટનાની ગંભીરતાને કારણે ‘વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા’ (હુ) પણ કાર્યરત બની ગઈ. તેના દ્વારા ખાંસી અને શરદીનાં સીરપમાં ભેગ હોવાની શક્યતા દર્શાવવામાં આવી. એક લૅબ રિપોર્ટમાં ડાઈઈથીલીન ગ્લાયકોલ અને ઈથીલીન ગ્લાયકોલની ‘અસ્વીકૃત’ માત્રા તેમાં હોવાનું જણાયું, જે ઝેરી બની શકે છે અને કીડનીની જીવલેણ બિમારી માટે કારણભૂત બની શકે છે.
નવાઈ લાગે એવી વાત એ છે કે લગભગ એ જ અરસામાં ઈન્ડોનેશિયામાં પણ આવા જ કિસ્સા બનેલા જણાયા. ત્યાં પણ ભારતીય બનાવટનાં કફ સીરપ લેવાને કારણે બાળકોની કીડની પર જીવલેણ અસર થઈ. આશરે ૧૪૩ બાળકોએ જાન ગુમાવ્યા. તેને પગલે તમામ પ્રકારનાં કફ સીરપના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ સીરપમાં પણ ડાઈઈથીલીન ગ્લાયકોલ તેમજ ઈથીલીન ગ્લાયકોલની ‘અસ્વીકૃત’ માત્રા હોવાનું માલૂમ પડ્યું. અલબત્ત, તેના ઉત્પાદક વિશે જાણકારી નથી.
છેલ્લા અહેવાલ અનુસાર ગામ્બિયાએ ફેરવી તોળ્યું છે અને જણાવ્યું છે કે હજી આ બાળકોનાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
આ સમયગાળામાં ‘હુ’ દ્વારા કરાયેલી જાહેરાતના પગલે ભારત સરકારે તેમજ હરિયાણા સરકારે ઉત્પાદક ‘મેઈડન ફાર્માસ્યુટિકલ્સ’ને પ્રતિબંધિત કરી છે. સ્વાભાવિકપણે જ આ દુર્ઘટના ભારતની ‘વૈશ્વિક ફાર્મસી’ તરીકેની છબિને ગંભીર નુકસાન પહોંચાડનારી છે, આથી ભારત દ્વારા ‘હુ’ના વિસ્તૃત અહેવાલની રાહ જોવાઈ રહી છે.
ગામ્બિયા અને ઈન્ડોનેશિયા બન્નેમાં લગભગ એક જ પ્રકારની દુર્ઘટના બની છે, જેનો ભોગ બાળકો જ બન્યાં છે. કોઈ ભારતીય કંપનીના ઉત્પાદનને કારણે જ આમ બન્યું છે કે કેમ એ તો સાચોખોટો અહેવાલ આવશે અને જાણવા મળશે તો મળશે. મૂળ સવાલ એ છે કે નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે કેવી બેકાળજી ઉત્પાદક કંપનીઓ દાખવે છે! ફરી પાછો એનો એ જ સવાલ સામે આવે છે કે અહેવાલમાં કોઈને પણ દોષી ઠેરવ્યા પછી જેમણે જીવ ગુમાવ્યાં એ પાછા આવવાનાં છે? અને ફરી વખત આમ નહીં બને એની કશી ખાતરી કોઈ આપી શકે એમ છે?
ધારો કે, આપણા દેશમાં જ આવી કોઈ દુર્ઘટના બની હોત તો શું થાત? કલ્પનાને બહુ દોડાવવાની જરૂર નથી. સુરતમાં ‘તક્ષશિલા’ જેવી ગોઝારી આગની દુર્ઘટના કે તાજેતરમાં મોરબીનો પુલ તૂટી પડ્યાની દુર્ઘટનામાં ભોગ બનનાર પૈકી બાળકોની સંખ્યા ઘણી મોટી છે, છતાં નથી અસલી કસૂરવાર સામે પગલાં લેવાયાં કે નથી તેનું પુનરાવર્તન ટળે એ માટે ચુસ્તી દેખાડાઈ! જે પણ પગલાં લેવામાં આવેલાં છે એ થાગડથીગડ જેવા છે. એમાં સમસ્યાના મૂળ સુધી પહોંચીને એનો ઊકેલ વિચારવાનો ઈરાદો જણાતો નથી કે અસલી કસૂરવારને સજા કરવાની દાનત પણ હોય એમ લાગતું નથી! અને આ બધું ચોરીછૂપીથી નહીં, બેશરમીથી ઉઘાડેછોગ થઈ રહ્યું છે. દલપતરામની કાવ્યપંક્તિ ‘શોધી ચડાવો શૂળીએ, જાડા નરને જોઈ’ પોતાના સમયમાં જ નહીં, કદાચ સદાકાળ પ્રસ્તુત બની રહે એવી છે, જેની પ્રતિતિ આપણને વખતોવખત થતી રહી છે.
કેવળ આપણા દેશમાં જ નહીં, સમગ્રપણે સંવેદનાનું સ્તર જાણે કે સતત ઘટતું જતું હોય એમ લાગ્યા વિના રહેતું નથી. બેજવાબદારીપણું બેશરમીપૂર્વક ઊજવવામાં આવી રહ્યું હોય એમ જણાય છે.
કોઈ ને કોઈ દુર્ઘટનામાં થતાં સામૂહિક મૃત્યુ ખરેખર તો મંથનનું, અને તેને પગલે સંભવિત ભાવિ દુર્ઘટના નિવારવાનું નિમિત્ત બનવાં જોઈએ. તેને બદલે એ રાજકીય લાભ ખાટવાનો અવસર બની રહ્યાં છે. ગામ્બિયા હોય, ઈન્ડોનેશિયા હોય કે ભારત હોય, માનવસર્જિત ભૂલને કારણે મોતને ભેટેલાં બાળકોનો શો વાંક! ભૂલ ભલે ગમે એની હોય, સ્વજનો તો ગયાં જ ને! રાજકીય રંગનો કૂચડો ફેરવાશે એટલે આ દુર્ઘટનાઓ વિસારે પાડી દેવામાં આવશે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭-૧૧ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કલમના કસબી:કનૈયાલાલ મુનશી : અડધે રસ્તે – ૩
પુસ્તક પરિચય
રીટા જાની
ગત બે અંકથી આપણે વાત કરી રહ્યા છીએ મુનશીની આત્મકથા ‘અડધે રસ્તે’ની.
પ્રેમ એ જીવનનું રસાયણ છે. પ્રેમ એ હૃદયની તરસ છીપાવતું અમૃત છે. પ્રેમ વાતાવરણમાં છે. એક દૃષ્ટિ, એક સ્પર્શ, એક કાર્યમાં પ્રેમ છે. જરૂર છે સભાન બની તેને અનુભવવાની. આપણે જ્યારે મુનશીની વાત કરતાં હોઈએ તો આપણે સૌ જાણીએ છીએ તેમના પ્રેમ ભરેલા પાત્રો વિશે ને કાક અને મંજરીના પ્રણય સંબંધ વિશે. ત્યારે પ્રશ્ન એ થાય કે મુનશી પોતે અંગત જીવનમાં પ્રેમ, પ્રેમિકા ને પત્ની માટે કેટલા નસીબદાર હતા?
જીવનસંગિની એ કોઈના પણ જીવનનો અતિ અગત્યનો હિસ્સો છે. મુનશીના સંસ્મરણોમાં છે કે તેમના માટે વહુની વરણી થતી હતી ને તેઓ સાંભળ્યા કરતાં, રસથી કે કેમ તે ખબર નહોતી. આખરે ચાર વર્ષની વહુ સાથે તેમના વિવાહ થયા ને લગ્ન સમયે તેની ઉંમર હતી આઠ વર્ષની. તે ગૃહસ્થ બન્યા, પાઘડી પહેરી ઘોડે ચડ્યા ને રડતી ધર્મપત્નીને પાછળ બેસાડીને લઈ આવ્યા.
બાપાજી સુરતની બાજુમાં આવેલા સચીનના દિવાન નિમાયા. ત્યાં એક આઠ-નવ વર્ષની ગૌરવવંતી, તેજસ્વી, હેતાળ અને તોફાની છોકરી હતી. નાના છોકરાઓ રમે એમ તેઓ બંને રમતા, લડતાં, રડતાં ને તોફાન કરતાં. પણ બાલ મુનશીની કલ્પનાએ એની આસપાસ કંઈ કંઈ સૃષ્ટિઓ ઘડી ને ભાંગી. ૧૯૦૩ માં ફરી ચાર દિવસ એ બાળાને મળ્યા વાસ્તવિક રીતે તો એ સામાન્ય પ્રસંગ હતો પણ એ બાળાએ તેમની કલ્પનાનો કબજો લીધો. દિવસે તેનું હાસ્ય સંભળાય ને રાતે તેને દેખ્યા કરે. સાત વર્ષ થયાં બંને એકબીજાને ઝંખતા હતા. મુનશી નોંધે છે કે “અમે બંને પરણવા સર્જાયા હતાં. હું એના વિના તરફડતો હતો. એ મારા વિના ઝૂરતી હતી.” એ સ્મરણોના સમૃધ્ધરંગી ચિત્રો મુનશીએ “વેરની વસૂલાત” માં ચીતર્યા છે તો તેના કેટલાક પ્રકરણોની જીવંતતા વર્ષોના આંસુ સીંચીને તેમણે ઉછેરી છે.
એ વખતના શિષ્ટાચાર પ્રમાણે વહુ બાર વર્ષની થાય એટલે તેને સાસરે બોલાવી લેવાતી. અહીઁ વહુ શરીરમાં છેક નાની હતી ને એને ભણાવવાની કોઈ તસ્દી લેતું નહિ. સંસ્કારી સાસરિયામાં જે પ્રકારની રીતભાત જોઈએ તે કોઈ તેને શીખવતું નહિ. “ભાઈ” તો મોટી વિદ્વાન સ્ત્રીઓની વાતો કરતો ને તેનો વહુ તરફનો અણગમો વધતો હતો. “ભાઈ” ના વહુ વિશેના ખ્યાલ નાટકી હતા. એને તો સાથે ગાય, વગાડે ને અંગ્રેજીમાં વાતો કરે એવી વહુ જોઈએ. વહુ અભણ છે, મૂર્ખ છે, માટે હું એને નહિ બોલવું એવી વાત કરે ને ઘણીવાર તો “ભાઈ” આંસુ પણ સારે. હેત અને કાળજીથી સાસુમા વહુ અતિલક્ષ્મીને ઘેર લાવ્યા ને તેના સંસ્કાર પરિવર્તનનું કામ માથે લીધું, જે પત્થર ઘડવા કરતા પણ કઠિન હતું. જે છોકરીના જીવનનો આધાર પોતે હતા, તેને દુઃખી કરવામાં પાપ દેખાતું. પણ એ પ્રતિજ્ઞા પાળતા તેમનો જીવ રહેસાઈ જતો. તેમને તો પ્રેમવિવાદ કરી શકે, કેન્ટ અને સ્પેન્સર વાંચી શકે એવી સહચરીની ઝંખના હતી. તેમને મળી લક્ષ્મી…જે તદ્દન બાળક હતી – શરીરે ,બુદ્ધિમાં, વિકાસમાં. આથી હતાશ થઈ તે રડતાં રહેતા. એટલું જ નહિ પણ તેમણે મરવાનો નિશ્ચય કર્યો. લક્ષ્મી નિર્દોષ, અજ્ઞાન ને શ્રદ્ધાળુ હતી. એની આંખોમાં સદાય ભક્તિ તરવરતી. એની સાથે ક્રૂર થઈ ન શકાય. તેથી જાત પર ક્રૂર બન્યા. એકલા એકલા આક્રંદ કરીને ધગધગતા શબ્દોમાં પોતાનું દુઃખ વ્યક્ત કરતા. તેઓએ વેદનાને આ રીતે નોંધી-” …વેદના ને જીવલેણ દુઃખ હું સતત અનુભવું છું. મારો અભ્યાસ, મારી ખાસિયતો અને રંગભૂમિના મારા શોખે મને બગાડી મૂક્યો છે. મેં બહુ ઊંચા આદર્શો સેવ્યા. મે સ્વપ્નાં જ જોયા કર્યા. તિલોત્તમા અને સાવિત્રી – એ મારા આદર્શો. મેં તો સુંદર વાત કરનારી ને સાથે ગંભીર, વિચારશીલ ને સમસંસ્કરી પત્ની ઝંખેલી; પણ એ આશા તો હંમેશ માટે કચડાઈ ગઈ…” છેવટે બીજા કોઈ નહિ તો બા માટે માટે જીવવું એવું નક્કી કર્યું. તેમના સુખમય સંસાર પર અંધારું ફરી વળ્યું તો રાત અને દિવસના દારુણ દુઃખ ન શમતાં હૈયાભંગ થયો. આના કારણે તેમનું મન અશાંત રહેવા લાગ્યું અને રાતની ઊંઘ ઊડી ગઈ. પરિણામે તેઓ વાંચ્યા કરતાં. તેમણે તત્વજ્ઞાનના વાંચન ઉપરાંત ફ્રાન્સના વિપ્લવનો વિસ્તૃત અભ્યાસ કર્યો. હ્યુગોની કૃતિઓ વાંચી. દુમાની એકએક કૃતિ એકથી વધુ વાર વાંચી. ઉપરાંત વડર્ઝવર્થ, બાયરન, શેલી અને ટેનીસનના બધાં કાવ્યો વાંચી નાખ્યા.
1902માં કોલેજમાં જવું તે આજે વિલાયત ભણવા જવા કરતાં પણ વધારે મોટુ સાહસ ગણાતું હતું. ઇ.સ. 1902 થી 1906 સુધી તેમણે વડોદરા કોલેજમાં બોર્ડિંગમાં રહીને અભ્યાસ કર્યો. નાટક જોવાનો શોખ ત્યાં પણ ચાલુ જ રહ્યો. કોલેજનું વાતાવરણ તેમણે “સ્વપ્નદૃષ્ટા” માં વર્ણવ્યું છે એટલું જ નહિ પણ તેમના મિત્ર “પી.કે.” અને પ્રો. શાહનું ચિત્ર પણ આપ્યું છે. તેમના સમયે કોલેજમાં અત્યંત પ્રભાવશાળી, વિદ્યાર્થીઓને પ્રેરણા આપી તેમના ભવિષ્યના જીવન પર સચોટ અને સ્થાયી અસર કરવાની શક્તિ ધરાવનાર બે શક્તિશાળી પ્રોફેસરો હતા. એક હતા તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાનના પ્રોફેસર જગજીવન વલ્લભજી શાહ, જેમને પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ પક્ષપાત હતો. તેઓ ધાર્મિક અને નૈતિક જીવનના ચુસ્ત હિમાયતી હતા અને વિદ્યાર્થીઓને આડકતરી રીતે ઉપદેશ આપી તેમની દૃષ્ટિ મર્યાદા વિશાળ બનાવતા હતા. બીજા હતા અંગ્રેજી અને ફ્રેંચના પ્રોફેસર અરવિંદ ઘોષ. ફ્રેન્ચ વિપ્લવ વખતના વિચારતરંગોથી મુગ્ધ બની તેઓ મિરાબો, દાંતાં ને નેપોલિયનના પરક્રમોનું મનન ને કીર્તન કર્યા કરતા. પહેલા જે ધર્મચુસ્ત હતા, હવે તેઓએ પાશ્ચાત્ય સંસ્કારોને વશ થઈ જનોઈ ને શિખાનો ત્યાગ કર્યો. સાથે સાથે દેશ અને દેશબંધુ માટે કંઈક ચિરંજીવ કરી જવાની ઈચ્છા જાગી. અરવિંદ ઘોષે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં ઝુકાવ્યું ને “વંદેમાતરમ્” નું તંત્રીપદ લીધું. તેમના લેખો અને તેમના ભાષણની વિદ્યાર્થી મુનશી પર ગહેરી અસર હતી. તેમના કોલેજકાળની ઘણી વાતો તેમણે “સ્વપ્નદ્રષ્ટા” માં વણી છે.
પાંચ વર્ષનો કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી ગ્રેજ્યુએટ થયા ને અંગ્રેજીમાં “ઇલિયેટ” પારિતોષિક મળ્યું. શારીરિક દુર્બળતા એ મોટી મુશ્કેલી હતી. માંદગી દરમ્યાન યોગસૂત્ર સાથે ગીતા વાંચી. બંને ગ્રંથો સારી રીતે સમજવાની અશક્તિ છતાં સંયમ કેળવવાના પાંચ-છ શ્લોક અને બે -એક સૂત્રો તેમને સાંપડ્યા, જે સ્વસ્થતા જાળવવામાં ખૂબ ઉપયોગી થઈ પડ્યા. આ દરમ્યાન તેમણે ખૂબ વાંચ્યું અને નોંધપોથીમાં ઉતાર્યું.
આ સાથે મુનશીજીની આત્મકથાને અડધે રસ્તે વિરામ આપીએ.
સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું: janirita@gmail.com
-
છબીઓની જાતકકથા: ઉત્તમ છબીઓ અને આસ્વાદ્ય ગદ્યનો સંગમ
પુસ્તક પરિચય
બીરેન કોઠારી

અમદાવાદસ્થિત પ્રકાશક ‘આર્ચર’ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘ક્યાં?ક્યારે? કેમ?’ વડોદરાસ્થિત ચિત્રકાર-પ્રિન્ટ મેકર-તસવીરકાર જ્યોતિ ભટ્ટની પચીસ છબીઓ અને તેને આનુષંગિક લખાણોને સમાવે છે. તેના વર્ણનમાં લખાયું છે એમ આ પુસ્તક ‘જ્યોતિ ભટ્ટની કેટલીક છબીઓની જાતકકથા- ફોટોલૉગ’ છે.
ગુજરાતી અખબારોમાં છબી-પત્રકારત્વનો યુગ હતો ત્યારે છબીની લંબાઈ જેટલું જ યા તેથી વધુ લંબાઈનું લખાણ લખવાની શૈલી પ્રચલિત હતી. આ લખાણ તસવીરને ઓછી, અને તસવીરકારના ‘લેખનકૌશલ્ય’ને વધુ પ્રગટ કરતી. ‘એક છબી હજાર શબ્દોની ગરજ સારે’ એ ઉક્તિ અહીં અપ્રસ્તુત જણાતી. અલબત્ત, ખ્યાતનામ તસવીરકાર જ્યોતિ ભટ્ટ જહોન શારકોસ્કીને ટાંકતાં લખે છે: ‘ફોટોગ્રાફ ક્યારેય કોઈ હકીકત કે ઘટનાને પૂરેપૂરી રીતે જણાવવા સક્ષમ નથી. જો આપણે એ બાબત ખ્યાલમાં રાખીએ કે વહેતા સમયમાંથી માત્ર એક ક્ષણના પણ નાનકડા ભાગમાં બનતી બાબત છબીમાં રજૂ થાય છે, તો એમાં કોઈ નવાઈ નહીં લાગે- ફોટોગ્રાફ જે કહે છે તે- વાર્તાકથનથી લગભગ અવળું કહી શકાય.’ ખુદ જ્યોતિભાઈ પણ માને છે કે બધી જ છબીઓ કંઈ ને કંઈ વ્યક્ત કરતી હોય છે. મોટા ભાગે છબી દ્વારા મળતી દૃશ્યમાહિતીની તુલનામાં શબ્દો વધુ સબળ પુરવાર થતા જોવા મળે છે.
આ પુસ્તક જે ચાર વ્યક્તિઓને અર્પણ કરાયું છે એ સહુ જ્યોતિભાઈની કલાયાત્રાના સાથીદાર બની રહ્યા હતાં. એ પૈકી તેમનાં પત્ની અને ખ્યાતનામ કલાકાર જ્યોત્સ્ના ભટ્ટ, વિશ્વવિખ્યાત છબીકારો કિશોર પારેખ અને ભૂપેન્દ્ર કારીયા દિવંગત છે, જ્યારે પ્રા. રાઘવ કનેરિયા અમેરિકાસ્થિત છે.
૨૦૧૮માં ચિકનગુનિયાગ્રસ્ત અવસ્થામાં યાદ આવેલા અનેક પ્રસંગો જ્યોતિભાઈએ લખાવી રાખેલા, જે ૨૦૨૦ના લૉકડાઉન દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ઈ-પખવાડિક ‘નોળવેલની મહેક’માં નિયમિતપણે પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ પુસ્તકમાં એ લખાણોને સમાવાયાં છે.
ભારતીય લોકકળાનું દસ્તાવેજીકરણ કરતા રહેલા જ્યોતિભાઈએ દેશના વિવિધ ભાગોમાં ભ્રમણ કરેલું છે, અને અનેક તસવીરો લીધેલી છે. આ પુસ્તકમાં દેશના વિવિધ વિસ્તારોની તસવીરો જોવા મળે છે. તસવીરોની સાથેનું લખાણ તસવીરના વિષયને સમજવા, જાણવા અને માણવા અંગે જરૂરી પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. અસલ ભારતનાં એમાં દર્શન થાય છે. આ લખાણોમાં બે-ત્રણ બાબતો ખાસ ધ્યાન ખેંચે એવી છે. પોતે કળાપ્રાધ્યાપક રહી ચૂક્યા હોવાની જરાય સભાનતા વિના વિવિધ વિગતો તેમણે પ્રામાણિકતાપૂર્વક જણાવી છે. કેટલીક છબીઓ ખેંચતી વખતે પોતાના મનમાં કંઈક અલગ વિભાવના હતી, અને અમુક પ્રકારનો દૃષ્ટિકોણ પોતાને પછી સૂઝ્યો એવું તેમણે સાવ સહજપણે લખ્યું છે. એવી જ સહજતાથી લખાયેલું ગુજરાતી ગદ્ય પણ ધ્યાન ખેંચે છે. કોઈ પણ ભોગે ગુજરાતીનો જ ઉપયોગ કરવાનું ઝનૂન તેમની પર સવાર નથી, અને જરૂર જણાય ત્યાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ તેમણે કરેલો છે, છતાં તેમનું ગુજરાતી વાંચવાની મજા આવે છે. પોતાની છબીઓને સમજાવવાનો પ્રયત્ન કરવાને બદલે તેમણે એને કયા સંજોગોમાં લીધી, શી રીતે તેની પર ડાર્કરૂમમાં કામ કર્યું વગેરે બાબતો જણાવી છે. નજર સામે દેખાતી એક અદ્ભુત કૃતિની આ સર્જનપ્રક્રિયા જાણવી બહુ રસપ્રદ બની રહે છે. પોતાની અમુક છબીને પુરસ્કાર પ્રાપ્ત થયો હોય એ તેમણે જણાવ્યું છે, તો પોતાની કોઈ છબીની નોંધ સુદ્ધાં ન લેવાઈ હોવાનું તેમણે લખ્યું છે. આ તમામ લખાણોમાં સંવેદનાનો આંતરપ્રવાહ સતત અનુભવાતો રહે છે.
આથી આ પ્રકારનું પુસ્તક કેવળ કળાના વિદ્યાર્થીઓ કે ચાહકો પૂરતું નહીં, પણ વાંચનના રસિયા હોય એવા સૌ કોઈ માટેનું બની રહે એવી ક્ષમતા ધરાવે છે. આથી જ, ક્યાંક રહી ગયેલી જોડણીશુદ્ધિ અથવા છૂટી ગયેલું પરામર્શન રસક્ષતિ કરતાં નથી.
છબીઓ સાથેનું મૂળ લખાણ જ્યોતિભાઈએ ગુજરાતીમાં લખ્યું છે, જે તેની સાથે જ અંગ્રેજીમાં પણ મૂકાયું છે. અંગ્રેજી અનુવાદ જાઈદા જેકબ અને પ્રેરણા શાહે કરેલો છે. ગુજરાતી લખાણોને મઠારવાનું કામ કલાકાર પીયૂષ ઠક્કરે કર્યું છે. કૉફી ટેબલ પુસ્તકના કદનું આ પુસ્તક મુદ્રણ સુઘડ અને નિર્માણ કળાત્મક છે. આ પુસ્તકનાં ૭૫ પૃષ્ઠોમાં ૨૫ છબીઓ અને તેને સંબંધિત લખાણ છે. કળાકારની સર્જનપ્રક્રિયામાં કેવી કેવી બાબતો સામેલ હોય છે તેનો ખ્યાલ આ પુસ્તક થકી સુપેરે મળી રહે છે અને આ પ્રકારનાં વધુ પુસ્તકો તૈયાર થતાં રહે એવી અપેક્ષા રહે છે.
ક્યાં? ક્યારે? કેમ?/ જ્યોતિ ભટ્ટની કેટલીક છબીઓની જાતકકથા– ફોટોલૉગની અન્ય વિગતોઃ,
પ્રકાશક: આર્ચર, અમદાવાદ,
પૃષ્ઠસંખ્યા: 75, કિંમત: 1500/,
(પુસ્તક એમેઝોન પર પણ ઉપલબ્ધ)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
-
”આ ઘર મિત – વલ્લરીનું છે !?”
વાત મારી, તમારી અને આપણી
ડૉ. મૃગેશ વૈષ્ણવ
એમ.ડી.(મનોચિકિત્સક)
– સરનામા વિનાના ઘરોમાં રહેતા નામ વિનાના સંબંધો ધરાવતા પ્રેમી યુગલો એકબીજા વગર રહી શકતા નથી… અને સાથે રહેવાય તેમ પણ નથી… કારણ મોટે ભાગે આવા યુગલો ઘર-ગૃહસ્થી વાળા હોય છે. તેમની છાની છપની મુલાકાતોનો તનાવ ઝઘડામાં પરિણામે છે. આ સંબંધોનું મનોવૈજ્ઞાાનિક શાસ્ત્ર સમજવા જેવું છે.
વલ્લરી સવારથી જ ઘુંઘવાયેલી છે…. મિત મારી સાથે આવી રીતે બિહેવ કરી જ કેવી રીતે શકે ? આમ ને આમ ક્યાં સુધી ચલાવી લેવું ? દસ વર્ષના કહેવાતા પ્રેમ સંબંધમાં તો એણે મારી પાંખ કાપી નાંખી, મારો આત્મવિશ્વાસ તોડી નાંખ્યો, મારા વ્યક્તિત્વને ઓશિયાળું બનાવી દીધું. સ્ત્રી સન્માન અને વ્યક્તિ સ્વાતંત્ર્યની મીઠી મીઠી વાતો કરી મને દસ વર્ષ પહેલાં ઘેલી બનાવનાર આ શું એ જ માણસ છે જે જાનવરથી પણ બદતર વર્તન કરી જંગલીયતનું પ્રદર્શન કરે છે ?… આજે મારે આખરી ફેંસલો કરી લેવો છે… !
એવામાં મોબાઈલ પર એસ.એમ.એસ. આવે છે… ”ક્લોઝનેસ રીસાઈડસ ઈન હાર્ટ… નો મેટર હાઉ બીઝી વી.આર… હાઉ ફાર વી… આર… યુ… આર. ઓલવેઝ રીમેમ્બર્ડ… તારો મનમિત્ર… ”
એસ.એમ.એસ. વાંચી વલ્લરીનો પિત્તો સાતમા આસમાને ચડે છે તે સીધો જ મિત્રનો મોબાઈલ લગાવી તેનો ઉધડો લેવાનું શરૃ કરે છે…
”રાયદાથી માંડી શેક્સપિયર સુધીના કવિઓ અને શાયરોની ભાષાના લોભામણા શબ્દો બોલનારો તું હવે ઉછાના એસ.એમ.એસ.ને રવાડે ચડયો છે ? શું હું સાવ મુર્ખ છું કે તારા એસ.એમ.એસ.માં છતી થતી તારી લવિંગ, કેરીંગ ફિલીંગ્સ અને કેર ફ્રી એટીટયુડને સાચા માની લઉં ? હકીકતમાં તો આટલું ભણ્યો ગણ્યો હોવા છતાં તું અનસીવીલાઈઝ પીગ છે. એટલે તારું ધાર્યું ન થાય તો છંછેડાઈ જવું ગમે તેવા અપશબ્દો બોલવા, સામેના માણસમાં જાણે આવડત જ નથી એમ પુરવાર કરી તોડી પાડવું… આઈ હેઈટ યુ મિત આઈ હેઈટ યુ…”
”આઈ હેઈટ યુ… ટુ… બટ આઈ ઓલસો પીટી માયુ વિલુ… હા તારા પર તિરસ્કાર જેટલી જ દયા આવે છે. હું ગમે તેવો છું, ગમે તેવી હેવાનિયત કરું છું. અશ્લિલ શબ્દો બોલું છું. છતાં પણ તું મને એક જળોની જેમ ચોંટી છે. રોજના વીસથી પચ્ચીસ ફોન, પચાસ-સાઠ એસ.એમ.એસ… અરે તારા સંબંધોની જાળમાં ફસાયેલો ન હોત તો મારી આવડત અને ક્રિએટીવીટીને વધારે સમય આપી હું ક્યાંય આગળ વધ્યો હોત પણ તું સાવ નવરી… મારી પાછળ એવી પડી છે કે હું તું ત્રાસી ગયો તારાથી…”
”તો કોણ તને પકડી રાખે છે ? તારે સંબંધોમાંથી છુંટવું હોય તો સીધી રીતે કહે છે… ખોટો દોષનો ટોપલો મારા માથે ન ઢોળ. હું કંઈ તને સામે ચાલીને બોલાવવા ન હતી આવી. તું જ મારી પાછળ પડયો હતો. મેં તો ક્યાંય સુધી તને કોઈ જ ભાવ ન હતો આપ્યો !”
એ તો તારા પર દયા આવતી હતી, ઓફીસમાં તું સાવ એકલી પડતી હતી અને મને તારી સાથે વાત કરવી ગમતી હતી…
”કેવી સુફીયાણી વાતો કરતો હતો… જાણે કૃષ્ણમૂર્તિ અને રજનીશનો સમન્વય તારામાં થયો હોય. મારે મારી અંગત સમસ્યાઓ હતી. તારા શબ્દોમાં મનેમારી સમસ્યાના હલ જણાયા. હું તારા પ્રત્યે આકર્ષાઈ અને તારો પ્રતિભાવ પણ સામે એટલો જ હતો.””તને તારી સમસ્યાનો હલ મારામાં ક્યાંથી જણાયો ? તું અભિમાની, ઘમંડી, વાત વાતમાં છણકતી સ્ત્રી સ્વાતંત્ર્યની મશાલચી છે. એક વાત બરાબર સમજી લે તારે કોઈની પણ પત્ની કે પ્રિયતમાં થઈને રહેવું હશે તો પુરુષને ઝૂકતાં શીખવું પડશે.”
”યુ શટ અપ… ખોટી દાદાગીરી બંધ કર. મારી ખોડખાંપણો શોધી પ્રેમ કરવાના નામે તું મને સુધારવાના કોચીંગ કલાસ નહિ ચલાવી શકે.”વલ્લરી જય રેશમવાલા તથા મિત રાજેશ શાહ બંને સારા વિજાતીય મિત્રો છે. તેમની વચ્ચે માનસિક પ્રગાઢ સંબંધ છે, પ્રેમ છે, આત્મીયતા છે. ઝઘડો છે, તિરસ્કાર છે. લડતાં-ઝઘડતાં પ્રેમ કરતાં સંબંધોનો એક દસકો પૂરો થાય છે. હા… તેમણે એક ઘર બનાવ્યું છે… અલબત્ત સપનામાં… જેના પર લખ્યું છે… ”આ ઘર ‘મિત-વલ્લરી’નું છે !?”
વલ્લરી વગર મિત મૂડલેસ, ખોવાયેલો અને બુદ્ધિ બહેર મારી ગઈ હોય તેવો બની જાય છે. અને મિત વગર વલ્લરીની દશા ”જલ બિન મછલી” જેવી થઈ જાય છે. અર્થાત્ તેનો પ્રાણવાયુ ખતમ થઈ જાય છે. એટલે જ તે મિતનો અવાજ સાંભળવા ફોન કરે છે. વ્યસ્ત મિત તેને ગંદી રીતે જવાબ આપે તો તે એસ.એમ.એસ. કર્યા જ કરે છે.
બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. એકબીજા વગર રહી શકતા નથી. અને સાથે રહેવાય તેમ પણ નથી કારણ બંને ઘર ગૃહસ્થીવાળા છે. છાના-છપના મળવાનો સ્ટ્રેસ એટલો વધી જાય છે કે જ્યારે મળે ત્યારે ઝઘડે છે.
વલ્લરીની પુત્રી હવે દસમાં ધોરણમાં છે અને મિતનો પુત્ર બારમાં ધોરણમાં છે. મિત કહે છે કે, ”વલ્લુ… આપણે હવે મોટા થયાં તારે તારું કુટુંબ છે અને મારે મારું. હવે આવા બધા છાનાં-છપનાં સંબંધો પૂરા કરીએ અને સમાજમાં સ્વીકાર્ય હોય એ રીતે મળીએ… એવા નવા સંબંધો બાંધીએ…”
”તો પછી અત્યાર સુધી સમાજને સ્વીકાર્ય નહોતા એવા સંબંધો શા માટે રાખ્યા હતા ? હવે તો આપણાં છોકરાં પણ મોટાં થઈ ગયા છે… તેમના ઉછેરની જવાબદારી પણ પૂરી થવા આવી છે. હવે આપણું શું ? હવે આપણે સાથે કેમ ન રહી શકીએ ? હવે તારે માત્ર મારો જ ખ્યાલ કરવાનો…” વલ્લરીએ પોતાનો દ્રષ્ટિકોણ સમજાવ્યો.
જય શાંત અને સ્વસ્થ વ્યક્તિ છે. પત્ની વલ્લરીની છોકરમત વિશે ઘણું બધું જાણે છે. બે સંતાનોને માતાના પ્રેમની ખબર ન પડે તેની કાળજી રાખે છે.
વલ્લરીનો પ્રેમ તો સાતેય સમંદરના ઘૂઘવતા મોજાંઓની જેમ ઘૂઘવ્યા કરે છે. આધેડ વય વટાવ્યા પછી હવે તેને સમાજના નીતિ-નિયમોનાં, બંધનો અને બદનામીનો ડર નથી. તેને તો મિતની સાથે જ રહેવું છે પણ મિત માટે આ શક્ય નથી. પોતાના બાળકો, પત્ની, માતા-પિતા પ્રત્યેની જવાબદારી તે સમજે છે. એટલે જ વલ્લરીને તેના ઘર તરફ પાછી ફરવા તે સમજાવે છે. પરંતુ વલ્લરી તો હવે મિતને જ વીંટળાઈને રહેવા કૃતનિશ્ચયી છે.
મિતની પત્નીને પતિના એક દાયકા જૂના પ્રેમ સંબંધોની ગંધ આવે છે. મિત સમજાવે છે. ”બિચ્ચારી ઓફીસમાં એકલી સ્ત્રી હતી, નાની હતી, ભોળી હતી, મેં એને મદદ કરી. અમારા વચ્ચે આત્મીયતા સ્થપાઈ. બસ વિશેષ કશું જ નહિ પણ આનો અર્થ એવો ન હોય કે હું મારી આબરૃંનું નિલામ કરી એને મારી સાથે રાખું કે મારું ઘર ભાંગુ.”
રીયાલિસ્ટીક મિત અને પ્રેમઘેલી, નાદાન, વલ્લરી ઓફીસમાં, સમાજમાં ચર્ચાનો વિષય બને છે. વલ્લરીને આની પરવાહ નથી. મિતને હવે વલ્લરી સાથેના સંબંધો ભારરૃપ લાગે છે. પરંતુ વલ્લરી વગર મિતની દશા પણ અસ્વસ્થ થઈ જાય છે.
સંબંધોને નવી દિશા આપવાની મિતની દરખાસ્ત પર વલ્લરી આત્મહત્યાની ધમકી આપે છે. મિત ડરી જાય છે. રીસામણા-મનામણા ચાલે છે. દર બે દિવસે તેમની વચ્ચે અંતિમકક્ષાનો ઝઘડો થાય છે. ઝઘડા પછી પાછું સમાધાન અને પ્રત્યેક ઝઘડા પછી વલ્લરીનો પ્રેમ વધતો જાય છે. પ્રત્યેક ઝઘડા પછી મિતને સંબંધો વધારે ભારરૃપ લાગે છે.મિતને એવું લાગે છે કે વલ્લરી માનસિક રીતે સમતોલ નથી એટલે વાસ્તવિકતા સમજી શકતી નથી. ઉંમર વધવા છતાં તે મુગ્ધા જેવી જ હરકતો કરે છે. બે તરુણ સંતાનોની માતા હોવા છતાં પોતાનાં સંતાનો પ્રત્યે માતા તરીકેની તેની ફરજ શું છે તેનું તેને ભાન નથી. મિત વલ્લરીને બહુ સમજાવે છે પણ તે તેના નિર્ણયમાં અફર રહે છે. સરનામા વિનાનાં ઘરમાં રહેતા નામ વગરના સંબંધોને તે હવે બેનામ રહેવા દેવા માંગતી નથી.
વારંવાર ગુસ્સે થઈ જતો, ઘાંટા પાડતો, અપમાન કરતો અને ગાળો બોલતો મિત ‘સાયકો’ થઈ ગયો હોય તેવું વલ્લરી માને છે. ક્યારેક તેને એવું લાગે છે કે મિત સ્વાર્થી છે. તેનાથી ધરાઈ ગયો છે. પ્રેમમાં નાદાન બનવું. સમાજની પરવાહ ન કરવી એ પહેલાં તેનો સ્વભાવ હતો પરંતુ હવે તે બદલાઈ ચૂક્યો છે. બંને એકબીજાને મનોચિકિત્સા કરાવવાનું સૂચવે છે.
વલ્લરી અને મિત જેવા સંબંધો ધરાવનારા ઘણાં બધા યુગલો છે. આવા સંબંધોની શરૃઆત અને વિકાસ પાછળ ઘણાં મનોવૈજ્ઞાાનિક પરિબળો હોય છે જે દરેક કિસ્સામાં જુદાજુદા હોય છે.
આવા સરનામા વગરનાં ઘરમાં રહેતા નામ વગરના સંબંધોને વિવિધ દ્રષ્ટિકોણથી મુલવવામાં કંઈ જ ખોટું નથી. માત્ર બૌદ્ધિક સ્તરે જ નહિ પણ હૃદયના સંબંધોને સાંકળી આમાં વિચાર કરવો જોઈએ. આવા સંબંધો લાગણીના તાણા-વાણાથી બંધાયેલા હોય છે. આ લાગણી તૂટે છે. અપેક્ષાઓ ભાંગીને ભૂક્કો થાય ત્યારે વ્યક્તિ હચમચી ઊઠે છે. હતાશ બને છે, માણસ પશુ નથી કે તેને આ સંબંધ સાથે કોઈ નિસ્બત ન હોય. એકબીજાના સાથ સહકાર વગર આવા સંબંધોને એક નવો વળાંક આપવો પણ મુશ્કેલ બને છે.
આવા સંબંધોમાં મોટે ભાગે સ્ત્રીને પ્રેમ, હુંફ, ભીનાશ અને લાગણીની જરૃરિયાત હોય છે. આ માટે તે ગમે તે ભોગે સંબંધો જાળવવા માંગે છે. પુરૃષને માટે આ પરસ્પર પ્રેમ ઉપરાંત વાસનાનો સંબંધ હોય છે. શારીરિક સૌંદર્ય માણી લીધા બાદ સતત એકધારા પણાને કારણે પુરુષ નવીનતા ઝંખે છે. આવા સંબંધો પછી તેનામાં ‘અપરાધભાવ’ અને ‘ક્ષોભ’ ઉત્પન્ન થાય છે. લાંબા સમયે આવા સંબંધો તેને ‘લાયાબિલીટી’ ભારરૃપ લાગે છે.
સંતાનો માતા-પિતાના આવા સંબંધોને સ્વીકારી શકતા નથી. ડરને કારણે તેઓ ક્યારેક પિતાને કંઈ કહી શકતા નથી. સંતાનોને માતા અણીશુદ્ધ માત્ર પોતાની જ જોઈએ છે.
સરનામા વગરના ઘરમાં રહેતા નામ વગરના સંબંધોનું શાસ્ત્ર ઘણું વિશાળ છે.
જો સ્ત્રી-પુરુષ વચ્ચે કોઈ પણ એક તબક્કે તંદુરસ્ત વિજાતીય મૈત્રી સંબંધ ન સ્થાપી શકાય તો ખડકો પર માથાં પછાડી પછાડીને છિન્નભિન્ન થતાં દરિયાના મોજાંની માફક જ સમાજમાન્ય સગપણ વગરના આવા સંબંધો ખતમ થઈ જાય છે.
ન્યુરોગ્રાફઃ
પ્યાર કરના જુલ્મ હૈ તો જુલ્મ હમસે હો ગયા !
કાબિલે માફી હુઆ કરતે નહીં ઐસે ગુનાહ ??
ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.,નાં વિજાણુ સંપર્ક સૂત્રો:
E_Mail: mrugeshvaishnav@gmail.com
Website: www.drmrugeshvaishnav.com
