-
એક કલાકાર : ગાયકો એકથી વધુ [૯] : અમિતાભ બચ્ચન
નિરંજન મહેતા
અમિતાભ બચ્ચન – એંગ્રી યંગમેનથી મહાનાયક સુધીની એક વૈવિધ્યપૂર્ણ કારકિર્દી. અઢળક ફિલ્મોમાં વિવિધ પ્રકારની અદાકારી. તેની કેટલીયે ફિલ્મોમાં તેના માટે ગાયેલા ગીતોનાં ગાયકો એક કરતા વધુ હોય તેવી ફિલ્મો અને તેવા ગીતો આ લેખમાં સમાવાયા છે. અન્ય પાર્શ્વગાયકો ઉપરાંત ખુદ અમિતાભે ગયેલા ગીતોની પણ નોંધ લીધી છે.
૧૯૭૨ની ફિલ્મ ‘એક નજર’નું ગીત છે
पत्ता पत्ता बूटा बूटा
हाल हमारा जाने है, पत्ता पत्ता…
जाने न जाने गुल ही न जाने
बाग तो सारा जाने है, पत्ता पत्ताઅમિતાભ બચ્ચન અને જયા ભાદુરીની પ્રણય ગાથા રજુ કરતાં આ ગીતના ગાયકો છે રફીસાહેબ અને લતાજી
બીજું ગીત છેऐ ग़म-ए-यार बता कैसे जिया करते हैं
जिनकी तकदीर बिगड़ जाती है क्या करते हैंઅમિતાભ બચ્ચનની વ્યથા આ ગીતમાં દર્શાવી છે જેના ગાયક છે મહેન્દ્ર કપૂર
બંને ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.૧૯૭૩ની ફિલ્મ ‘સૌદાગર’ જેમાં અમિતાભ એક લગ્નેતર સંબંધ ધરાવે છે તેના ગીતો
हर हसीं चीज़ का मैं तलब्गार हूँ
हर हसीं चीज़ का मैं तलब्गार हूँ
रस का फूलों का गीतों का बीमार हूँ
रस का फूलों का गीतों का बीमार हूँ
हर हसीं चीज़ का मैं तलब्गारઆ ગીતમાં તેની માનસિક પરિસ્થિતિ ઉજાગર થાય છે જેના ગાયક છે કિશોરકુમાર.
બીજું ગીત છે
हुस्न है या कोई क़यामत है
ख़्वाब देखा है या हकीकत है
बेबसी है के प् नहीं सकते है
हमसे थोड़ी सी दूर जन्नत है
हमसे थोड़ी सी दूर जन्नत हैહોડીમાં સવાર અમિતાભ અને પદમા ખન્નાના વિચારો દર્શાવતાં આ ગીતના ગાયકો છે રફીસાહેબ અને આરતી મુકરજી.
બંને ગીતના ગીતકાર અને સંગીતકાર રવીન્દ્ર જૈન.૧૯૭૩ની અન્ય ફિલ્મ ‘અભિમાન’ જેમાં પતિ પત્નીના સંબંધોમાં ઈર્ષા જ્યારે જન્મે છે ત્યારે શું થાય છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે. આ ફિલ્મમાં ત્રણ ગીતો એવા છે કે જે જુદા જુદા પુરૂષ ગાયકોએ ગાયાં છે.
પહેલું ગીત છે
मीत न मिला रे मन का
कोई तो मिलन का
कोई तो मिलन का, करो रे उपायગાયક તરીકે વિખ્યાત અમિતાભ પ્રેક્ષકો સામે આ ગીત ગાય છે જેને સ્વર આપ્યો છે કિશોરકુમારે.
બીજું ગીત છે
तेरी बिंदिया रे आय हाय
तेरी बिंदिया रे
सजन बिंदिया ले लेगी तेरी निंदिया
रे आय हाय तेरी बिंदिया रेઆ ગીત તાજા પરણેલા યુગલના મનોભાવને વ્યક્ત કરે છે. જેના ગાયક છે લતાજી અને રફીસાહેબ
ત્રીજું ગીત છે
लूटे कोई मन का नगर बन के मेरा साथी
लूटे कोई मन का नगर बन के मेरा साथी
कौन है वो, अपनों में कभी, ऐसा कहीं होता है
ये तो बड़ा धोखा हैકોઈ એક કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીને એક સાથે ગાવાની તક મળે છે ત્યારનું આ ગીત છે. લતાજી અને મનહર ઉધાસ ગાયકો છે.
ત્રણેય ગીતના રચયિતા મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર સચિન દેવ બર્મન.૧૯૭૭ની ફિલ્મ ‘પરવરીશ’નું આ ગીત રોમીઓ અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના પર રચાયું છે.
अजी ठहरो ज़रा देखो
कुछ सोचो ज़रा समझो
हम तो मर जाएँगे ले के तेरा नाम
टूट गया जब दिल तो जीने से क्या काम
हम तो चले जो कहा-सुना हो माफ़ कर देनाનીતુ સિંહ અને શબાના આઝમીનો પીછો કરતા અમિતાભ અને વિનોદ ખન્ના આ ગીત ગાય છે જેને સ્વર આપ્યો છે શૈલેન્દ્ર સિંહ, અમિતકુમાર, આશા ભોસલે અને આરતી મુકરજીએ.
બીજું ગીત છે
आइए शौक़ से कहिए
हम्म आइए शौक से कहिए
कहिये ना है कोई काम
अजी काम वाम में क्या रखा है हम तो हैं आपके गुलाम
आइए बैठिये कहिये, क्या है जी आपका नामનીતુ સિંહ અને અમિતાભ પર રચાયેલ આ ગીતના ગાયકો છે કિશોરકુમાર અને આશા ભોસલે.
બંને ગીતોના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.૧૯૭૯ની ફિલ્મ ‘ધ ગ્રેટ ગેમ્બલર’નું આ ગીત એક ક્લબમાં ગવાતું ગીત છે
रक्कासा मेरा नाम
ए साहिब सबको सलाम
आप की खिदमत के लिए
मैं हाजिर हु आज की शामકલાકારો છે ઝીનત અમાન અને અમિતાભ. ગાયકો છે આશા ભોસલે અને રફીસાહેબ.
બીજું ગીત છેपहले पहले प्यार की
क्या हैं ये दीवानगी
तुझसे मिलकर हो गयी
क्या से क्या ये ज़िन्दगीનીતુ સિંહ અને અમિતાભની નોકઝોક આ ગીતમાં રજુ થઇ છે જે આશા ભોસલે અને કિશોરકુમારનાં સ્વરમાં છે.
બંને ગીતોના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને.૧૯૭૯ની અન્ય ફિલ્મ ‘મિ.નટવરલાલ’નું આ ગીત એક સમૂહ નૃત્ય છે
આ ફિલ્મમાં ત્રણ ગીતો એવા છે કે જે જુદા જુદા પુરૂષ ગાયકોએ ગયા છે.परदेसिया
परदेसिया ये सच है पिया
सब कहते हैं मैंने तुझको दिल दे दिया
मैं कहती हूँ तूने मेरा दिल ले लियाરેખા અને અમિતાભ પર રચાયેલ આ ગીતને સ્વર આપ્યો છે લતાજી અને કિશોરકુમારે.
બીજું ગીત એક સંદેશાત્મક ગીત છે .
अरे हे ऊँची-ऊँची बातों से
किसी का पेट भरता नहीं
अरे हे है राम का भरोसा जिसे
कभी भूखा मरता नहींરેખા અને અમિતાભ પર રચાયેલ આ ગીતને સ્વર આપ્યો છે લતાજી અને રફીસાહેબે.
ત્રીજું ગીત બાળકોને વાર્તા કહેવાના રૂપમાં છે જેનો અંત રસિક છે.
मेरे पास आओ, मेरे दोस्तो, एक क़िस्सा सुनो
कई साल पहले की ये बात है
बोलो ना, चुप क्यूँ हो गए?આ ગીતમાં અમિતાભે પોતે જ સ્વર આપ્યો છે.
૧૯૮૦ની ફિલ્મ ‘દોસ્તાના’નું આ ગીત બે મિત્રો વચ્ચેની તિરાડને જાગૃત કરે છે.
मेरे दोस्त किस्सा ये क्या हो गया
सुना है के तू बेवफा हो गयाશત્રુઘ્ન સિન્હા અને અમિતાભ પર રચાયેલ આ ગીતને સ્વર આપ્યો છે રફીસાહેબે.
બીજું ગીત એક પ્રેમગીત છે જે ઝીનત અમાંન અને અમિતાભ પર રચાયું છે..
दिल्लगी ने दी हवा, थोड़ा सा धुआँ उठा
और आग जल गई
तेरी मेरी दोस्ती, प्यार में बदल गई
तेरी मेरी दोस्ती, प्यार में बदल गईગીતના ગાયકો છે આશા ભોસલે અને કિશોરકુમાર.
બંને ગીતોના ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ
૧૯૮૧ની ફિલ્મ ‘સિલસિલા’ એક પ્રેમગાથા રૂપ છે તેના ગીતો પણ આ જ લાગણી પર રચાયા છે.
देखा एक ख़्वाब तो ये सिलसिले हुए
दूर तक निगाहों में हैं गुल खुले हुए
ये गिला है आप की निगाहों से
फूल भी हों दरमियाँ तो फ़ासले हुएરેખા અને અમિતાભ આ ગીતના કલાકારો છે જેના ગાયકો છે લતાજી અને કિશોરકુમાર.
બીજું ગીત પણ રેખા અને અમિતાભ પર રચાયું છે જેમાં અમિતાભનો સ્વર સંભળાય છે.
नीला आसमाँ सो गया
ओस बरसे रात भीगे होंठ थर्राये
धड़कने कुछ कहना चाहे कह नहीं पाये
हवा का गीत मध्यम हैબંને ગીતોનાં શબ્દો જાવેદ અખ્તરના અને સંગીત આપ્યું છે શિવ હરીએ.
૧૯૮૧ની અન્ય ફિલ્મ ‘નસીબ’નું આ ગીત એક પાર્ટીમાં ગવાયું છે જેમાં ફિલ્મ જગતની મોટી હસ્તીઓ પણ દેખાય છે. અમિતાભ આ ફિલ્મમાં એક વેઈટરનાં પાત્રમાં છે.
जोन जानी जनार्दन, तरा रम पम पम पम पम
साहिब ने बुलवाया, हाज़िर हूँ मैं आया
हूँ यारों का मैं यार, दुश्मनों का दुश्मन, दे दना दनસ્વર છે રફીસાહેબનો.
બીજુ ગીત સિક્કાની બીજું બાજુને અનુરૂપ છે જેમાં ચાર કલાકારો દર્શાવાયા છે.
जिंदगी इम्तिहान लेती है
लोगों की जान लोगों की जान
लोगों की जान लेती हैhttps://youtu.be/1S9pSwlW5Oo?list=RD1S9pSwlW5Oo
અમિતાભ સાથે શત્રુઘ્ન સિન્હા, હેમામાલીની અને રીના રોય સામેલ છે જેને સ્વર આપ્યો છે અનવર, કમલેશ અવસ્થી અને સુમન કલ્યાણપુરે.
બંને ગીતોના ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ૧૯૮૧ની વધુ એક ફિલ ‘લાવારીસ’નું ગીત એક કટાક્ષગીત છે.
चार पैसे क्या मिले
क्या मिले भई क्या मिले
खुद को समझ बैठे खुदा
वो ख़ुदा ही जाने अब होगा तेरा अंजाम क्या
काहे पैसे पे
काहे पैसे पे इतना गुरूर करे हैंઝીનત અમાનને ઉદ્દેશીને અમિતાભ આ ગીત ગાય છે. ગીતના ગાયકો છે આશા ભોસલે અને કિશોરકુમાર.
બીજું ગીત તો અત્યંત પ્રચલિત ગીત છે. ગીતના મધ્યમાં રાખી પણ દેખાય છે,
मेरे अंगने में
तुम्हारा क्या काम है
जोह है नाम वाला
अरे जोह है नाम वाला
वही तोह बदनाम हैગીતને સ્વર આપ્યો છે અલકા યાજ્ઞિક અને ખુદ અમિતાભે.
બંને ગીતના ગીતકાર છે અનજાન અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.૧૯૮૨ની ફિલ્મ ‘દેશપ્રેમી’નું આ ગીત રોમીઓ ટાઈપનું છે. હેમા માલિનીને માટે ગવાયેલું આ ગીત મહેમૂદનું ગીત ‘ખયાલો મેં’ ની યાદ અપાવે છે.
ख़ातून की खिदमत मे सलाम अपुन का
अजी पोट्ती पटना है भाई पोट्ती पटना है
अजी पोट्ती पटना है फ़क़त काम अपुन का
घर-बार हुआ इश्क़ मे नीलाम अपुन काસ્વર છે આશા ભોસલે અને કિશોરકુમારના.
બીજું ગીત સામાજિક ગીત છે જેમાં બે પક્ષોનાં ઝઘડામાં વચ્ચે આવી અમિતાભ આ સંદેશાત્મક ગીત રજુ કરે છે.
नफ़रत की लाठी तोड़ो, लालच का खंजर फेंको
ज़िद के पीछे मत दौड़ो, तुम प्रेम के पंछी हो
देश प्रेमियों, आपस में प्रेम करो देश प्रेमियोंસ્વર છે રફીસાહેબનો.
બંને ગીતોના ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ૧૯૮૩ની ફિલ્મ ‘નાસ્તિક’નું આ ગીત પણ રોમીઓ ટાઈપનું છે. રસ્તે જતી હેમા માલિનીને છેડતા અમિતાભ આ ગીત ગાય છે.
अरे, एक फरियादी हाज़िर है
हा एक फरियादी हाज़िर है दिलबर के दरबार मे
प्यारे तेरे प्यार मे लूट गये हम बाज़ार मे
प्यारे तेरे प्यार मे लूट गये हम बाज़ार मेઅમિતકુમાર અને આશા ભોસલેના સ્વર.
બીજું ગીત એક મસ્તીભર્યું ગીત છે જે ટ્રેન ઉપર ગવાયું છે. સ્વર છે કિશોરકુમારનો.
आज का ये दिन कल बन जाएगा कल
पीछे मुड़के ना देख प्यारे आगे चल
तू पीछे मुड़के ना देख प्यारे आगे चलબંને ગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.
૧૯૮૩ની અન્ય ફિલ્મ ‘મહાન’નું આ ગીત રિસામણા મનામણા રૂપનું છે
ऐ आधी बात हो चुकी तू आधी बात करले
अरे आधी बात हो चुकी तू आधी बात करले
आज की इस रात को सुहाग रात करले
भरले मेरे प्यार सेઝીનત અમાનને સુહાગરાતે મનાવવા આ ગીત ગવાયું હોય તેં લાગે છે જેને સ્વર આપ્યો છે કિશોરકુમારે.
બીજું ગીત એક સામુહિક નૃત્ય છે. અસંખ્ય કલાકારો વચ્ચે પરવીન બાબી અમિતાભને ઉદ્દેશીને આ ગીત ગાય છે.
यह दिन तो आता हैं एक दिन जवानी मे
आँखे मिले तोह लगे आग पानी मे
दिल को तोह खोना हैं खोना हैं खो जाये
आगे जो होना हैं होना हैं हो जायेસ્વર છે આશા ભોસલે અને આર.ડી.બર્મનના.
બંને ગીતના ગીતકાર અનજાન અને સંગીતકાર આર.ડી.બર્મન.૧૯૮૮ની ફિલ્મ ‘શહેનશાહ’નું આ ગીત બહેનની મસ્તી કરતુ ગીત છે.
ओ बहना ओ बहना
ओ मेरे जीजाजी का क्या कहना
रब ने ऐसी जोड़ी बनायी
जैसे तोता और मैनाકલાકરો છે અમિતાભ અને મિનાક્ષી શેષાદ્રી. ગાયક છે મહમદ અઝીઝ
બીજું ગીત એક પ્રણય ગીતના રૂપમાં કહી શકાય જેમાં મિનાક્ષી શેષાદ્રી પોતાની મનસા જાહેર કરે છે.
होगा थानेदार मेरा है दिलदार तू
वर्दी का तू रोब जमाले
टोपीवाले डराले करले जो है करना
मैं नही डरना मैं नही डरनाગાયકો છે લતાજી અને કિશોરકુમાર.
બંને ગીતના ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર છે અમર ઉત્પલ૧૯૮૯ની ફિલ્મ ‘જાદુગર’માં અમિતાભ એક જાદુગરનું પાત્ર ભજવે છે અને તે મુજબ આ ગીત ગાય છે.
मैं जादूगर हैं मेरा नाम गोगा
है मुझ जैसा नहीं कोई होगा
मैं जादूगर हैंhttps://youtu.be/H1lxztXkpMc?list=RDH1lxztXkpMc
સ્વર છે કુમાર સાનુનો.
બીજું ગીત પોતાની પડોસન જયા પ્રદાને ઉદ્દેશીને ગાય છે. આ ગીત ખુદ અમિતાભ ગાય છે
आए दीवाना जैसे जाता है
हा दीवाना जैसे जाता है
ज़ंजीरे तोड़के
अरे मुर्गा निकल गयामेराઅંને ગીતના ગીતકાર છે જાવેદ અખ્તર અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.
૧૯૯૧ની ફિલ્મ ‘હમ’નું આ ગીત સમભાવની ભાવનાને દર્શાવે છે.
एक दूसरे से करते हैं प्यार हम
एक दूसरे के लिए बेकरार हम
एक दूसरे के वास्ते मरना पड़े तो
हैं तैयार हम हैं तैयार हमદીપા સાહીને મનાવવા અમિતાભ સાથે ગોવિંદા, રજનીકાંત અને બાળ કલાકાર જોડાય છે. ગીતના ગાયકો છે અલકા યાજ્ઞિક, સુરેશ વાડકર, ઉદિત નારાયણ અને સોનાલી વાજપાઈ.
બીજું ગીત કિમી કાટકરને ઉદ્દેશીને ગવાયું છે. અતિ પ્રસિદ્ધ આ ગીત સુદેશ ભોસલેના સ્વરમાં છે.
अरे ओ जुम्मा, मेरी जानेमन, बाहर निकल
आज जुम्मा है, आज का वादा है
देख मैं आ गया, तू भी जळी आ
मुझे मत और तड़पाબંને ગીતોના ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ
૧૯૯૯ની ફિલ્મ ‘સૂર્યવંશમ’નું આ ગીત હૃદયની લાગણીને વ્યક્ત કરે છે. આ ફિલ્મમાં ત્રણ ગીતો એવા છે કે જે જુદા જુદા પુરૂષ ગાયકોએ ગયા છે.
दिल मेरे तू दीवाना है
पागल है मैंने माना है
पल पल आहें भरता है
कहने से क्यों डरता है
दिल मेरे तू दीवाना हैસૌન્દાર્યાને અનુલક્ષીને ગવાતા આ ગીતના ગાયક છે કુમાર સાનુ.
આ ફિલ્મનું બીજું ગીત છે
धरती पे नही अम्बर पे नहीं
नदिया पे नहीं सागर पे नहीं
फूलों पे नही बादल में नहीं
कागज़ पे नहीं आँचल पे नहींઅમિતાભે સૌન્દર્યા સાથે આ પ્રણયગીત ગાયું છે જેને સ્વર આપ્યો છે સોનું નિગમે. સૌન્દર્યા માટે સ્વર છે જસ્પીનદર નરુલાનો.
તો ત્રીજું ગીત ખુદ અમિતાભે ગાયું છે.
चलिआ रे चलि आरे चलि आरे
चोरी से चोरी से चोरी चोरी चोरी सेત્રણેય ગીતના ગીતકાર સમીર અને સંગીત છે અનુ માલિકનું.
૨૦૦૩ની ફિલ્મ ‘બાગબાન’ એક સંયુક્ત કુટુંબના વિખવાદને અનુલક્ષીને છે. જ્યારે અમિતાભ અને હેમા માલિનીને જુદા જુદા રહેવાનું આવે છે ત્યારે ફોન ઉપર તે બંને આ ગીત ગાય છે.
मई यहा तू वाहा, जिंदगी है कहा
तू ही तू है सनम देखता हू जहा
नींद आती नही याद जाती नहीસ્વર છે અલકા યાજ્ઞિક અને ખુદ અમિતાભના.
બીજું ગીત છે એક પાર્ટી ગીત જેમાં અમિતાભ હેમા માલિનીને ઉદ્દેશીને કહે છે
मेरी मखणा मेरी सोणिये, हे चाँद बलिए
सोनी तेरी चल सोनी वे, लगाड़ी कमाल सोनी वेગાયકો છે સુદેશ ભોસલે અને અલકા યાજ્ઞિક
બંને ગીતના ગીતકાર છે સમીર અને સંગીતકાર છે આદેશ શ્રીવાસ્તવ.
આ લેખમાં મળ્યા એટલા ગીતો સમાવાયા છે. આશા છે રસિકોને તે પસંદ પડશે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
હાસ્યથી મોંને ભરી દેતી પેરડીની પ્રસાદી
શ્રી બીરેન કોઠારી હિંદી ફિલ્મોના ગીતોના વિભાગ માટે પેરડીરૂપે ગીતશૃંખલા (મેડલી)ની નવી લેખમાળા રજૂ કરી રહ્યા છે.
દર મહિના બીજા શનિવારે એક એક પેરડી – મેડલી ગીતની મજા માણી શકાશે.
પ્રતિકાવ્ય : ગીતશૃંખલા
બીરેન કોઠારી
‘પેરડી’એટલે પ્રતિકાવ્ય અથવા પ્રતિરચના. તે હાસ્યનો એક પ્રકાર છે. પ્રતિરચનામાં વાંચનાર માટે શરત એ હોય છે કે તેને મૂળ રચનાની જાણકારી હોવી જોઈએ. તો જ તે મૂળ રચનાના અનુસર્જન જેવી ‘પેરડી’ને બરાબર માણી શકે.
ઘણાં જાણીતાં કાવ્યોની ‘પેરડી’ રચાયેલી છે. હિન્દી ફિલ્મોમાં પણ આવી ‘પેરડી’ની પરંપરા જોવા મળે છે. સામાન્ય રીતે અતિશય જાણીતા બનેલા ગીતમાં ધૂન એની એ જ રાખીને, તેના શબ્દો તદ્દન બદલી નાંખવામાં આવે છે. મૂળ ગીત જાણીતું હોય અને તેની ધૂન પર હાસ્યપ્રેરક ગીત રચાય એટલે તે રમૂજ પેદા કરે એ સ્વાભાવિક છે. હિન્દી ફિલ્મોમાં સામાન્ય રીતે આવી ‘પેરડી’ઓ ગીતોની શૃંખલા (મેડલી) રૂપે સાંભળવા મળે છે, જેમાં જાણીતાં ગીતોનાં મુખડાં લઈને તેની ધૂન પર હાસ્યપ્રેરક શબ્દો ગોઠવાયા હોય અને આવા છ-આઠ ગીતો હોય સળંગ હોય. ક્યારેક આખેઆખું ગીત પણ ‘પેરડી’ રૂપે સાંભળવા મળે છે. પેરડીની શરૂઆત ચોક્કસપણે કઈ ફિલ્મથી, કયા સંગીતકારથી, ગીતકારથી થઈ હશે એ કહેવું મુશ્કેલ છે. ધૂન તૈયાર હોવાથી તેમાં જે તે ફિલ્મના સંગીતકારનું કર્તૃત્વ નહીંવત ગણાય, અને ગીતકારનો ઉદ્યમ વધુ ગણાય.
આ વિશિષ્ટ શ્રેણીને બે મુખ્ય ધોરણે વિભાજીત કરવામાં આવી છે. પહેલા વિભાગમાં ‘મેડલી’ એટલે કે ગીતશૃંખલા અને બીજા ભાગમાં એકલ ગીતો.
આ ઉપરાંત ઘણી વાર એ પણ જોવા મળ્યું છે કે એક લોકપ્રિય ગીત અથવા ગીતશૃંખલા આખેઆખાં યથાતથ, પણ મૂળ ગીત કરતાં સાવ જુદી સ્થિતિમાં વપરાયાં હોય, જેનો હેતુ મુખ્યત્વે હાસ્ય પેદા કરવાનો હોય છે. આવાં, યથાતથ વપરાયેલાં ગીતો કે ગીતશૃંખલાનો સમાવેશ આમાં કર્યો નથી.
વધુ એક સ્પષ્ટતા એ કરવાની કે કોઈ એક ગીતની ધૂન પરથી પ્રેરીત થઈને એની એ ધૂન અન્ય સંગીતકારે વાપરી હોય તો એને ‘પેરડી’ ન કહી શકાય. આવાં તો અનેક ગીતો મળી આવે. કેવળ ઉદાહરણ ખાતર કહેવું હોય તો નૌશાદના પ્રસિદ્ધ ગીત ‘ક્યા મિલ ગયા ભગવાન’ (ફિલ્મ: અનમોલ ઘડી) પરથી એ જ ધૂન પર પ્રદીપજીએ ‘દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ (ફિલ્મ:જાગૃતિ) લખ્યું હતું. ફિલ્મનું સંગીત હેમંતકુમારનું હતું, પણ એ બહુ જાણીતી વાત છે કે પ્રદીપજી પોતાનાં ઘણાં ગીતોની ધૂન તૈયાર કરીને આપતા. પાકિસ્તાનમાં બનેલી ફિલ્મ ‘બેદારી’ આખેઆખી ‘જાગૃતિ’ ફિલ્મની પાકિસ્તાની નકલ હતું અને તેનાં તમામ ગીતો ‘જાગૃતિ’નાં ગીતોની ધૂન પર બનેલાં હતાં. ખ્યાતનામ કવિ ફૈયાઝ હાશમીએ આ ધૂનમાં શબ્દો ગોઠવ્યા હતા, જ્યારે સંગીતની ક્રેડીટ ફતેહ અલી ખાને લીધી હતી. (નુસરત ફતેહ અલી ખાનના તે પિતાજી થાય, જે પોતે કવ્વાલ હતા.) પાકિસ્તાનમાં બનેલી આ ફિલ્મનો હીરો ‘બુટ પૉલીશ’ અને ‘જાગૃતિ’નો બહુખ્યાત બાળનાયક રતન કુમાર (મૂળ નામ ‘નઝીર રીઝવી’) હતો.
પેરડીરૂપે ગીતશૃંખલાની દરેક કડીમાં પેરડી ગીતની લીન્ક મૂકવાની સાથોસાથ મૂળ ગીતની લીન્ક પણ મૂકાયેલી છે. શક્ય ત્યાં સુધી વર્ષવાર ચડતા ક્રમમાં આ ગીતોને મૂકવામાં આવશે.
પેરડીરૂપે ગીતશૃંખલાની પહેલી કડી
છિલના તેરા કામ, ખાના મેરી શાન
આમાં ધૂન તૈયાર અને નીવડેલી હોવાથી એમાં ફિલ્મની પરિસ્થિતિ અનુસાર હાસ્યસભર શબ્દો લખવાનું મુખ્ય કામ ગીતકારના ફાળે આવે એ સમજી શકાય એમ છે.
૧૯૪૨માં રજૂઆત પામેલી ફિલ્મ ‘જવાની કી પુકાર’ યાને ‘Call of youth’માં એક પેરડી ગીત સાંભળવા મળે છે. ‘આર્ટિસ્ટ્સ કમ્બાઈન, મુંબઈ’ દ્વારા નિર્મિત, ડી. બીલીમોરીયા દિગ્દર્શીત આ ફિલ્મના ગીતકાર એ.કે.મિસ્ત્રી અને સંગીતકાર વસંતકુમાર નાયડુ છે. ફિલ્મમાં ડી.બીલીમોરીયા, હરીશ, કલ્યાણી, વઝીર મોહમ્મદ ખાન, અફઘાન સેન્ડો જેવા કલાકારો હતા.
ફિલ્મનાં કુલ નવ ગીતો હતાં, જેમાંના કેટલાકમાં ગાયિકાના નામ તરીકે મિસ કલ્યાણીનો ઉલ્લેખ છે. ફિલ્મમાંનું એક ગીત પેરડી છે, જેમાં આગલા વરસોનાં બે સુપરહીટ ગીતોની પેરડી છે. ગાયક માસ્ટર દીન ઉર્ફે માસ્ટર સરફરાઝ અને સાથીઓ છે.
ગીતનો આરંભ ‘સાલન મેં બટાટે હૈ, છીલો છીલો’થી થાય છે, જે ૧૯૪૧ની ફિલ્મ ‘ખજાનચી’ના અતિ ખ્યાત ગીત ‘સાવન કે નઝારે હૈં‘ની પેરડી છે. મુખડા પછી તરત ટેમ્પો બદલાય છે અને ગીત શરૂ થાય છે ‘ચલ ચલ રે છુરી ચલ’. આ ગીત ૧૯૪૦ની ફિલ્મ ‘બંધન’ના પ્રખ્યાત ગીત ‘ચલ ચલ રે નૌજવાન‘ની પેરડી છે.
‘સાલન’ એક પ્રકારની ‘કરી’ છે, જે મૂળત: હૈદરાબાદી છે, પણ વિવિધ પ્રાંતોમાં પોતપોતાની રીતે ખવાય છે. આ ગીતમાં તેના વિવિધ સંદર્ભ છે. મઝાની વાત એ છે કે ‘સાલન મેં બટાટે હૈ’ પંક્તિઓ કેવળ મુખડા પૂરતી જ છે, એ પછીના ગીતના ભાગમાં ‘ચલ ચલ રે નૌજવાન’ના ગીતની પેરડીવાળા અંતરા છે.
ત્રીજી પેરડી ‘ઝિંદગી’ ફિલ્મના સાયગલે ગાયેલા ગીત ‘મૈં ક્યા જાનૂ ક્યા જાદુ હૈ‘ની પેરડી ‘તુમ ક્યા જાનો ક્યા, આલૂ હૈ’ છે. આમ, આ ગીતમાં કુલ ત્રણ ગીતની પેરડી છે. આ ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ – ભૂપેન ખખ્ખરની શૈલી પર ચિત્રકારોનો પ્રભાવ
બીરેન કોઠારી
ભૂપેન ખખ્ખરની ચિત્રશૈલી પર બે ચિત્રકારોનો મુખ્ય પ્રભાવ હોવાની વાત જાણીતી છે. એમાંના એક તે બ્રિટીશ ચિત્રકાર ડેવિડ હૉકની/David Hockney અને બીજા હતા ફ્રેન્ચ ચિત્રકાર હેન્રી રુસો/Henry Rousseau. આ બન્ને ચિત્રકારોનો સમયગાળો અલગ અલગ છે. હૉકની વીસમી સદીમાં થઈ ગયા, અને લગભગ ભૂપેનના સમકાલીન કહી શકાય. રુસો ઓગણીસમી સદીમાં, ઉત્તર પ્રભાવવાદ/Post impresionismના ગાળામાં થઈ ગયા.
ભૂપેન આ બન્નેની શૈલીથી પ્રભાવિત થયા હશે, પણ તેમણે કોઈની નકલ કરવાને બદલે પોતાની આગવી શૈલી નીપજાવી. હૉકનીએ પોપ આર્ટનો પ્રકાર અજમાવેલો, અને ભડકીલા રંગોનો પોતાનાં ચિત્રોમાં તેમણે ઉપયોગ કર્યો. ભૂપેનનાં ચિત્રોમાં જોવા મળતા ભડકીલા, પણ ભારતીય શૈલીના રંગો કદાચ હૉકનીમાંથી લેવાયેલી પ્રેરણા હોઈ શકે.

ડેવિડ હૉકનીએ ચીતરેલો લેન્ડસ્કેપ રુસોની શૈલી આદિમવાદ/Primitivism કહેવાય છે. આ પ્રકારના ચિત્રોમાં એક કેળવાયેલો કલાકાર જે પૂર્ણતાથી આકૃતિઓ ચીતરે તેનો અભાવ હોય છે. કંઈક અંશે અણઘડપણું આ શૈલીની ઓળખ કહી શકાય. ભૂપેનનાં ચિત્રોમાં આ શૈલી ઘણી વાર જોવા મળે છે.

ડેવિડ હૉકનીએ દોરેલું એક ચિત્ર 
Jungles in Paris by Henry Rousseau 
Henri Rousseau’s Dream અલબત્ત, ભૂપેનની મૌલિકતા તેમના ચિત્રોમાં જોવા મળતી ભારતીયતામાં હતી, જેમાં ભારત બહારના લોકોને વિશેષ રસ પડ્યો. વિકસવા મથતું શહેર, તેમાં હરતાફરતા માણસો, તેમના વ્યવસાય, તેમની જાતીય સમસ્યાઓ, તેમની મુશ્કેલીઓ, તેના થકી ઊભી થતી રમૂજી પરિસ્થિતો ભૂપેનનાં ચિત્રોમાં તેમના તીવ્ર નિરીક્ષણ થકી ઝળકવા માંડી.
અહીં હૉકની અને રુસોની શૈલી સાથે ભૂપેનની શૈલીના સામ્યનો અને તફાવતનો અંદાજ આવી શકે એટલા માટે બન્ને કલાકારોએ ચીતરેલાં બબ્બે ચિત્રો અને એકાદ ચિત્ર ભૂપેનનું મૂક્યું છે. એ જોઈને ખ્યાલ આવશે કે ભૂપેન કઈ રીતે મૌલિક હતા.

ભૂપેન ખખ્ખરે દોરેલું ચિત્ર
(તસવીરો નેટ પરથી કેવળ ચિત્રસંદર્ભ પૂરતી)
[ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
સંસ્પર્શ-૨૫
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
ધ્રુવદાદાએ તત્વમસિ નવલકથામાં માનવનાં માનવ સાથે, કુદરત સાથે, લોકમાતા નર્મદા જેવી નદી સાથે અને સમગ્ર સંસ્કૃતિ સાથેનાં અનોખા સંબંધોની વાત કરી છે. વાત આમ તો નર્મદા નદીની છે ,પરતું નદીની સાથે સાથે તેની આસપાસ વસતાં લોકોનાં જીવનની, સજીવ સૃષ્ટિની ,વનનાં સાગનાં વૃક્ષોની ,નર્મદાનાં પરિક્રમાવાસીઓની વાત પણ સંકળાયેલી છે. નદીને ભારતીય સંસ્કૃતિમાં માતાનો દરજ્જો કેમ આપવામાં આવ્યો છે? આપણી ગંગા, યમુના, નર્મદાને પગે લાગી તેનાં પાણીને ચરણામૃત કેમ કહીએ છીએ? કારણ ,આ નદીઓ માનવજીવનને કે બહોળા અર્થમાં તમામ પ્રકારના જીવનને ટકાવી રાખનારી,વિકસાવનારી શક્તિ જ નહીં તે એક સંસ્કૃતિના પરિવહનનું, પરિપક્વતાનું અને તેની સતત વધતી વિસ્તરતી જીવનગાથાનું અમરગાન છે.
નર્મદા કિનારાવાસીઓ માટે તે જીવનદાયિની છે. નવલકથાની શરૂઆતથી અંત સુધી સાંકળતી કડી સ્વરૂપે લોકમાતા નર્મદા અને તેની આસપાસનાં વિસ્તારોનું મનોહર વર્ણન દાદાએ કર્યું છે. તેમજ પરિક્રમાવાસીઓ સાવ અજાણ્યા હોય તે છતાં તેમને સાહજિકતાથી મદદરૂપ થતાં લોકોનાં સંવેદનાસભર સંવાદો દ્વારા દાદાએ નર્મદાતટવાસીઓનો પરિચય કરાવતાં સમગ્ર ભારતીય સંસ્કૃતિનો હૃદયંગમ પ્રભાવ ઊભો કર્યો છે.
બિત્તુબંગાનાં ભાઈ બંગાને ,જે વાઘણ ખાઈ ગઈ હતી, તે વાઘણનું મોં ગલસંટામાં ફસાઈ ગયું અને બિત્તુ તેને કુહાડી લઈ મારી નાખવા ગયો ,પરતું જ્યાં તેણે તેનાં નાનાં બચ્ચાંને જોયાં અને પોતે મા વગર ઉછર્યો હતો અને તે વેદના યાદ આવતાં એને વાઘણને છોડી દીધી. પોતે જીવેલી મા વગરની જિંદગી એને વાઘનાં બચ્ચાંઓને આપવી નહોતી.આ પ્રસંગ સાથે જ સાંકળેલ મહાભારતનો પ્રસંગ- દ્રૌપદીનાં પાંચપુત્રોને અશ્વત્થામાએ ઊંઘમાં સૂતા જ મારી નાંખ્યા છતાં જ્યારે અશ્વત્થામાને હણવાની દ્રૌપદી ના કહે છે અને કહે છે પુત્રહીનતાનું દુ:ખ શું હોય છે ?તે હું જાણું છું, કૃપીને એ દુ:ખ કદી ન મળો.આમ નવલકથાનાં આદિવાસી અભણ લોકો હોવા છતાં અને જેમણે શાસ્ત્રો ક્યારેય વાંચ્યાં નથી તેમનાં સંસ્કારોની ઉચ્ચતા દાદાએ કુશળતાપૂર્વક આલેખી છે અને તેની સાથે મહાભારતનાં પાત્રોની વાતની ગુંથણી સરસ રીતે રજૂ કરી છે.આમ નાયક આદિવાસી લોકોની કેવી કેવી સચ્ચાઈ અને પ્રામાણિકતાથી અભિભૂત થાય છે તેનાં ખૂબ સંવેદનશીલ સંવાદો દાદાએ સુપેરે પાત્રો દ્વારા રજૂ કર્યા છે.
નર્મદા નદી ભારતને બે ભાગમાં વહેંચેં છે તેવી માન્યતા સામે દાદા માને છે કે નર્મદા ઉત્તરાખંડ અને દક્ષિણાખંડને જોડીને એક સાથે રાખે છે. એક નદી સાથે વિકસેલી, નદી કિનારે પાંગરેલી અને તેના જ પુણ્ય પ્રતાપે હજીયે વિકસતી આપણી સંસ્કૃતિમાં તેનું મહત્વ અનન્ય છે એમ સમજાવતાં દાદા લખે છે, “અમરકંટકથી નીકળીને સમુદ્રને મળે છે ત્યાં સુધીમાં આ નદી કેટકેટલી શ્રદ્ધા ,કેટકેટલી સાંત્વના, કેટકેટલા પ્રેમ,આદર અને પુણ્યો સમાવતી દંતકથાઓનું સર્જન કરે છે. એક ઝરણ સ્વરૂપથી સાગરને મળવાના સમગ્ર પ્રવાસમાં તે પોતે બદલાય છે અને તેના સંસર્ગમાં આવનારનાં જીવન બદલી નાંખે છે.”
પાણીનાં એક પ્રવાહને એટલે જ આપણી સંસ્કૃતિમાં લોકમાતાનું બિરુદ અપાયું હશે!
નવલકથાની પરિપક્વ ક્ષણો સમયે નાયકનું માનસ પરિવર્તન ખૂબ સહજ જણાય છે.એમાં કોઈ એક પ્રસંગ કે ઘટનાનો ભાગ નથી,પરતું સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન તેણે અનુભવેલું એ નિતાંત આહ્લાદક સૌંદર્ય છે, જે ફક્ત માનવજીવનનું નથી,વનરાજીનું,પ્રાણીઓનું,માન્યતાઓ અને તેનાં અર્થઘટનનું અને સૌથી વધુ લોકમાતા નર્મદાનું છે.દરેક પરિક્રમાવાસીને નર્મદા દર્શન આપે જ છે એવી માન્યતાની તેમની આગવી પુષ્ટિ કોઈ ચમત્કાર નહીં ,સાક્ષાત્કાર બની રહે છે.
નવલકથાનાં અંતમાં નદીની અર્ધપરિક્રમાએ નીકળેલો નાયક કાબાઓ દ્વારા લુંટાઈ છે ત્યારે તેમના મને કરેલું અર્થઘટન સચોટ અને અર્થગર્ભિત છે. તેઓ કહે છે કે કાબાઓની માન્યતા છે કે પરિક્રમાવાસી સાધુઓને લૂંટવાની ,અરે ! તેમના વસ્ત્રો સુદ્ધાં લઈ લેવાની આજ્ઞા તેમને ‘મા’ નર્મદા આપે છે. કારણ “ભૂખ્યો તરસ્યો, જીવનનિર્વાહ માટે હવાતિયાં મારતો વસ્ત્રવિહીન પ્રવાસી ઝાડી પાર કરીને નગરમાં પહોંચશે ત્યારે તેના અહમના ચૂરેચૂરા થઈ ગયા હશે.સંન્યાસ શું છે? ત્યાગ શું છે? જીવન શું છે?આવા તમામ પ્રશ્નોનો જવાબ તેને સ્વયં મળી ગયા હશે.આવું સચોટ અને સત્યાર્થ રજૂ કરતી ફિલસુફી જ નવલકથાને બીજા કરતાં આગવી ઓળખ આપે છે. નવલકથાનાં બધાં જ પાત્રો શરૂઆતથી અંત સુધી આપણને લાગણીની અલગ સફરે લઈ જાય છે. આપણે પણ પાત્રોની સાથે નર્મદાની અને તેની આસપાસનાં જંગલોની ,આદિવાસીની ઝૂંપડીઓની સફરનો અનુભવ કરીએ છીએ. ગુણદોષથી ભરેલા તે આદિવાસીઓ શહેરનાં માણસથી જુદા પડે છે કારણ તે કુદરત સાથે જોડાએલ છે. કુદરત સાથેનો તેમનો સંબંધ સાવ નોખો છે , કારણ કુદરત તેમના અસ્તિત્વનો એક ભાગ છે.
આ સાથે ઘ્રુવદાદાની ચાર પંક્તિઓ-
“ક્યાં કહું છું હું અને તું એક હોવા જોઈએ,
માત્ર કહું છું કે પરસ્પર નેક હોવા જોઈએ.એમ ઠાલો શબ્દ કંઈ તાકાતવર હોતો નથી,
શબ્દના અવતાર અંદર છેક હોવા જોઈએ.સાવ પોતાને વિસારો એમ કહેવું દંભ છે,
પણ બધાંની દૃષ્ટિમાં પ્રત્યેક હોવા જોઈએ.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ફાઉન્ડ આર્ટ – નકામી વસ્તુઓમાંથી કળાસર્જન
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendra Shah Kalasampoot – Creation from waste ( Found Art )
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
સંસ્કૃત – શ્લોક/સુભાષિતો : સત્યનો જ જય થાય છે
દેવિકા ધ્રુવ
सत्यमेव जयते नानृतम् सत्येन पन्था विततो देवयानः ।
येनाक्रमन्त्यृषयो ह्याप्तकामाः यत्र तत्सत्यस्य परमं निधानम् ॥– मुन्डकोपनिषत्
સમાસ વિભાજન અને શબ્દશ: ગુજરાતી અર્થ:
सत्यमेव=सत्यम्+एव= સત્ય જ, जयते= વિજય પામે છે. नानृतम्= न+अनृतम्= નહિ કે અસત્ય,
सत्येन = સત્ય થકી, पन्था= માર્ગો, विततो = વિસ્તર્યા છે. देवयानः દેવોના
येनाक्रमन्त्यृषयो= येन + आक्रमन्ति + ऋषयः – येन = જેના થકી, आक्रमन्ति = ઉન્નતિ પામે છે. ઊંચાઈએ પહોંચે છે. ऋषयः = ઋષિ મુનિઓ, ह्याप्तकामाः = हि+आप्तकामा = हि = જ (ભારવાચક), आप्तकामा = ઇચ્છા મુજબ મેળવવું यत्र = જે तत्सत्यस्य= तत+सत्यस्य તે સત્યનું परमं=પરમ, સૌથી ઊંચું , निधानम् = નિવાસ,રહેઠાણ,ધામ
શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
સત્યનો જ જય થાય છે; અસત્યનો નહિ. સત્ય થકી જ દેવોના માર્ગો વિસ્તર્યા છે. તેના થકી જ ૠષિઓ ઊંચાઈએ પહોંચી શકે છે અને તેના જ થકી ઇચ્છા મુજબનું પરમ ધામ પામી શકે છે.
વિચારવિસ્તારઃ
સત્ય પર ભાર મૂકતો આ શ્લોક મુંડક ઉપનિષદનો છે અને ખૂબ જાણીતો છે. કારણ કે, ભારતની સ્વતંત્રતા પછી, सत्यमेव जयते ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે અપનાવવામાં આવ્યું હતું. આ શબ્દો તમામ ભારતીય ચલણની એક બાજુ પર અંકિત થયેલ છે. સત્ય એક અમોઘ શસ્ત્ર છે જેના થકી ૠષિઓ પરમ ધામને આંબી શકે છે. મહાત્મા ગાંધીજીએ ભારત દેશને સત્ય થકી જ ગુલામીમાંથી મુકત કર્યો હતો. તેના થકી જ તેઓ ‘મહાત્મા’નું બિરુદ પામી શક્યા.
Sanskrit shlok in English script :
satyameva jayate naanrutaṃ satyena pantha vitato devayaanaḥ
yenaakramantyṛushayo hiaaptakamaa yatra tatsatyasya paramaṃ nidhaanamWord to word meaning in English:
Satyam eva = Truth only, Jayate= conquers, wins. Na+ anṛutam – not falsehood. satyena – by Truth, panthaaḥ – roads, journey, vitato = was stretched out. devayaanaḥ= Path leading to Gods,
yenakramantyṛushayo= yen+akramanti+rushayo = yena = by which , akramanti = ascend , ṛushayao = the sages, hi+apta+kama= hee=only (emphasis), aaptakama – winning their desire , yatra = where, tatsatyasya=tat+satyasya.- tat= that, satyasya = Truth, paramam = Supreme, nidhanam= abode
Translation in English:
Truth alone triumphs, not falsehood. By truth, the divine paths are unfolded, through which the sages having fulfilled all their desires, reach the supreme abode of the (eternal) truth.
(‘Satyameva Jayate’ is the national motto of India.)
Devika Dhruva.
ddhruva1948@yahoo.com
http://devikadhruva.wordpress.com -
પધારો ! અમારો વિનાશ નોંતરવા આપ સૌનું સ્વાગત છે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
એ હકીકત હવે અજાણી રહી નથી કે એ.આઈ. (આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ/કૃત્રિમ બુદ્ધિમતા) નો ઊપયોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, અને તેના માટેનાં ડેટા સેન્ટર દ્વારા પ્રચંડ ગરમીનું ઉત્સર્જન થાય છે. આને કારણે તેના માટે પુષ્કળ પાણીની જરૂરિયાત રહે છે. તેનું આ પાસું એવું છે કે તેને ધ્યાનમાં રાખવું જ પડે. ત્રણેક મહિના અગાઉ આ કટારમાં તેના વિશે વાત કરવામાં આવી હતી. આ એક માત્ર કારણસર અમેરિકા, યુરોપ, લેટિન અમેરિકા અને અગ્નિ એશિયાના દેશોમાં આવાં ડેટા સેન્ટરો ઊભાં કરવાનો વિરોધ થઈ રહ્યો છે. તેમના દ્વારા ઉત્સર્જિત કરાતી ગરમી ઊપરાંત તેના માટે જરૂરી વીજપુરવઠાની પ્રચંડ માત્રા અને વિશાળ જમીનની જરૂરિયાત પણ આ વિરોધ પાછળનાં પરિબળો ખરાં.
બીજી તરફ ફેબ્રુઆરી, ૨૦૨૬ માં દિલ્હી ખાતે ભરાયેલા એ.આઈ.ના સંમેલનમાં, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં એ.આઈ.સેન્ટર સ્થાપિત કરવા ઈચ્છનાર સૌને આવકાર્યા અને ભારતને એ.આઈ.સેન્ટરનું વૈશ્વિક કેન્દ્ર (હબ) બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. આ કેન્દ્રો રોજગારજનક બની રહેશે એમ પણ કહેવાયું. આવી ઘોષણા વડાપ્રધાને કશું જોયાજાણ્યા વિના ન કરી હોય! વિશ્વના અન્ય દેશોમાં એ.આઈ.સેન્ટરોનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે, એ બાબત આપણા જેવા સામાન્ય નાગરિકોને ખબર હોય તો માહિતી માટેનું વિશાળ માળખું ધરાવતા વડાપ્રધાન કાર્યાલયને એની જાણ ન હોય એ શક્ય નથી.
આ આખા મામલે મૂળ મુદ્દો એ છે કે ભારત જળતંગી ધરાવતો દેશ છે. વીજતંગી પણ અહીં કાયમી સ્થિતિ હોય છે. અધૂરામાં પૂરું જળવાયુ પરિવર્તનને કારણે ગરમીનો પ્રકોપ વરસોવરસ વધી રહ્યો છે, જે જળ અને વીજળી બન્નેની માંગમાં પ્રચંડ વધારો કરે છે.
આ કેન્દ્રો થકી પેદા થતા રોજગારની વાત કરીએ કે જે મુદ્દાને આગળ કરવામાં આવ્યો છે, અને મહત્ત્વનો ગણાવાયો છે. ડેટા સેન્ટરને જુદી જાતનાં ગોદામ કહી શકાય. સેંકડો કે હજારો ચોરસ ફીટ વિસ્તારમાં તે પથરાયેલાં હોય છે. એક વાર તે કાર્યરત થઈ જાય એ પછી મુઠ્ઠીભર ટેક્નિશ્યન અને ઈજનેરો થકી તેનું સંચાલન કરવામાં આવે છે. અન્ય ઉદ્યોગોની જેમ આ સ્થાને કોઈ ટેક્નોલોજીને વિકસાવવામાં આવતી નથી કે જેમાં લોકોને તાલીમ આપવામાં આવે. વિશાળ વિસ્તારમાં પથરાયેલાં આ કેન્દ્રોમાં રાક્ષસી કદનાં એ.આઈ.મોડેલનું સંચાલન થાય છે, જે સુપર કમ્પ્યુટરની જેમ ડેટા એટલે કે વિગતોને સંઘરે છે. આપણા દેશના પાટનગરમાં સુધ્ધાં જનસામાન્યને પીવાના પાણીની અને વીજળીની તંગી છે, અને પૂરતો પુરવઠો મળે એવી વ્યવસ્થા દેશની આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ ગોઠવી શકાઈ નથી, ત્યાં બીજા નગરો, શહેરો કે રાજ્યોની વાત જ ક્યાં કરવી! આ સંજોગોમાં એ.આઈ.સેન્ટરો દ્વારા ઓહિયાં થઈ જતો જંગી માત્રામાં પાણી અને વીજપુરવઠો કોના ભાગેથી છીનવાઈને ત્યાં પહોંચશે એની કલ્પના કરવાની જરૂર ખરી?

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી જમીનના મુદ્દાને પણ અવગણવા જેવો હરગીઝ નથી. ગૂગલ, અમેઝોન અને મેટા જેવી રાક્ષસી કદની કંપનીઓએ, ખાસ કરીને આંધ્ર પ્રદેશમાં જમીન મેળવવા માટે અદાણી જૂથ અને રિલાયન્સ જૂથ સાથે હાથ મિલાવ્યા છે. આમાંની ઘણી બધી જમીન પર્યાવરણની રીતે સંવેદનશીલ પ્રદેશોમાં છે, પણ બીજી તરફ સરકાર લીલીછમ વાડીઓ અને ખેતીની જમીન પર કબજો વધારી રહી છે. આમ કરવામાં તેમના માર્ગમાં આવતી ઝૂંપડપટ્ટીઓનો નિર્દયતાપૂર્વક સફાયો કરાઈ રહ્યો છે. કેમ કે, કરોડો ડોલરનું રોકાણ આ રીતે ઠલવાઈ રહ્યું છે. મહિલા પત્રકાર લતા જિષ્ણુએ ‘ડાઉન ટુ અર્થ’ સામયિકમાં આ હકીકતને ઊજાગર કરી છે. અહેવાલમાં જણાવાયા અનુસાર આ પૈકીનો સૌથી મોટો પ્રકલ્પ દસ હજાર કરોડ ડોલરનો છે, જે અદાણી જૂથનો છે. આ પ્રકલ્પ અંતર્ગત ૨૦૩૫ સુધીમાં પાંચ ગીગાવૉટની ક્ષમતા ધરાવતાં એ.આઈ.ડેટા સેન્ટર બનાવવાની યોજના છે. એમાંથી ગૂગલ કંપનીના સહયોગમાં સ્થપાનારું વિશાખાપટણમ ખાતેનું બે ગીગાવૉટની ક્ષમતા ધરાવતું એ.આઈ.ડેટા સેન્ટર સૌથી વધુ ક્ષમતા ધરાવતું સેન્ટર હશે. તેના માટે ગૂગલને ૪૮૦ એકર જેટલી વિશાળ જમીન દરિયાકાંઠાના વિસ્તારમાં ફાળવવામાં આવી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ વિસ્તાર પર્યાવરણની રીતે અતિ સંવેદનશીલ છે, અને પહેલેથી જ પર્યાવરણને લગતા ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે.
એ યાદ રાખવું રહ્યું કે અનેક દેશોમાં થઈ રહેલો એ.આઈ.સેન્ટરો સામેનો વિરોધ એ.આઈ.ની સામાજિક અસરો અંગેનો નહીં, પણ પાણી અને વીજળી જેવી પાયાની જરૂરિયાતો અંગેનો છે. વિવિધ ભૌગોલિક, સાંસ્કૃતિક પરિસ્થિતિઓ તેમજ વિભિન્ન રાજકીય વિચારધારા ધરાવતા દેશોમાં થઈ રહેલો પ્રચંડ વિરોધ એ બાબતનું પ્રમાણ છે કે સૌ આ બાબતે સમાન રીતે ચિંતિત છે.
વડાપ્રધાને એ.આઈ.સેન્ટરોને આવકાર્યાં છે, તો રાજ્ય સરકારો તેમને માટે પાણી અને વીજળીના વપરાશ પર સબસિડી આપી રહી છે. સામાન્ય નાગરિકો વીજળીના કમરતોડ દર ચૂકવે અને આવી કંપનીઓને સબસિડી!
પર્યાવરણ ક્ષેત્રના કર્મશીલો તેમજ વિવિધ નાગરિક સંગઠનો ઘણા સમયથી આનો વિરોધ કરી રહ્યાં છે, પણ એની ખાસ અસર નથી. પરિસ્થિતિ એવી છે કે વાજબી કારણોસર વિરોધ કરનાર રાષ્ટ્રદ્રોહીમાં ખપી જાય છે. એ.આઈ.સેન્ટરના આવા પ્રચંડ પ્રકલ્પોથી ભવિષ્યમાં સંબંધિત વિસ્તારની પર્યાવરણીય સ્થિતિ કઈ હદે કથળશે એની કલ્પના જ કરવી રહી.
સરકારની તરફેણમાં કામ કરતા સત્તાતંત્ર પાસે કોઈ ન્યાયી પગલાંની અપેક્ષા રાખવી વ્યર્થ છે. એમાંય ખુદ વડાપ્રધાને નોંતરું આપીને લાલ જાજમ બિછાવડાવી હોય પછી કયા અધિકારીની મગદૂર છે કે સામો હરફ કાઢે?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨-૭– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
સ્મૃતિસંપદા : સહકારની કેડીએ : મનસુખ વાઘેલા [૬ ]
આ પહેલાં આપણે શ્રી મનસુખ વાઘેલાની બાલ્યકાળથી શાળા જીવન સુધીની યાત્રાની કેડીની સફર કરી.હવે આગળ…….કોલેજના મિત્રો
કોલેજમાં મારા ઘણા મિત્રો થયાં, એમાં રજનીભાઈએ મને ટ્યુશન કરીને થોડી ઘણી આવક કરવા પ્રેરિત કર્યો, તેમણે આજીવન મારી સાથે મિત્રતા નિભાવી. પ્રદીપ શાહ પહેલા સાયન્સ કોલેજમાં અને પછી એન્જિનિયરિંગ કોલેજમાં પણ મારી સાથે હતો. અને અત્યારે હ્યુસ્ટન, અમેરિકામાં પણ અમે ભેગા થઈ ગયાં. આજે પણ અમે બંને મિત્રો ભેગા થઈને અમારા તે સંસ્મરણો વાગોળીએ છીએ. એવી રીતે જ બીજા મિત્રોમાં મનહર રાઠોડ સાથે પણ ઘનિષ્ઠ સંબંધો હતાં. અમે બંને એકબીજાના ઘરે અવાર-નવાર આવતા જતાં.
કોલેજમાં મારી નજીક એક છોકરી બેસતી હતી, તેનો રોલ નંબર ૧૧૦ હતો, એટલે અમે મિત્રોએ એનું ઉપનામ ૧૧૦ રાખ્યું હતું. મને મનોમન એ ગમવા મંડી હતી. મનમાં ને મનમાં રમાયેલી અને આગળ ન વધેલી એ એક તરફી પ્રેમની અને મારા એકાકીપણાની વ્યથા મારા મનમાં કવિતા રૂપે પ્રગટ થઈ. ‘ક્ષોભ’ નામની એ મારી પ્રથમ કવિતા હતી.
ક્ષોભ
ક્યારેક મન થઈ શંકિત,
પૂછે પ્રશ્ન પોતાને,
શું નથી મંજૂર વિધાતાને,
તારું ને મારું મિલન?ત્રણ વખત મળી તું,
જોઈ મેં તને, પરંતુ,
ન ચડ્યો હું તવ દ્રષ્ટિમાં,
ને હું ય કેમ બોલાવું તને,
જ્યારે હોય કો તુજ સાથમાં?અવ જ્યારે મળશે તું,
કહેવા આતુર હૈયું આ,
વિચારી વિચારી ફરી
મિલન સમયે,
હોઠ બંધ થઈ જતાં
શાને?‘ક્ષોભ’ માં મારી અવસ્થાનું વર્ણન કરતી છેલ્લી પંક્તિઓ “વિચારી વિચારી મિલન સમયે હોઠ બંધ થઈ જતાં શાને?” મોટાભાગના યુવાનોની વ્યથા અને અવસ્થાનો પ્રશ્ન છે કે પ્રેમનો એકરાર કરવો છે, શું કહેવું, શું ના કહેવું બધું જ વિચારી રાખ્યું છે, પણ પ્રેમિકા પ્રત્યક્ષ આવે ત્યારે મોંઢામાંથી એક શબ્દ નીકળે નહીં, સાવ મૂંગા થઈ જવાય, અને પછી એ પળ ચાલી જાય, એટલે હતાશા અને નિરાશા છવાઈ જાય. એક બે મહિના પછી પાછી બીજી કવિતા “અનિલ” લખી, તેની પણ છેલ્લી પંક્તિઓ “કળી કરમાય, કૂંપળ સુકાય, ડાળી બટકે, પાન ખરે, વૃક્ષ સુકાય, વિના વસંતે, મુખ કરમાય, હૈયું સુકાય, ભાવના તૂટે, આંસુ ખરે, મન દુભાય, જીવનસાથી વીના.” સગાં-વહાલાં અને આટ-આટલાં મિત્રો હોવા છતાં મારી એકાકીપણાની એ અવસ્થા હતી. પછી તો એ મારી પ્રેમની વ્યથા અને એકાકીપણાથી ચાલુ થયેલી કવિતાઓ રૂપી સફરમાં સમયની સાથે-સાથે, જીવનના તડકા-છાંયડાંમાં, સંવેદનાઓના વિરાટ સમુદ્રમાં હાલકડોલક થતી નાની હોડી જેવી મારા હ્રદયની ઘણી બધી ભાવનાઓને પાનાંઓ ઉપર ઉતારતો રહ્યો.
ઇન્ટર સાયન્સમાં સારા માર્કે પાસ થયો, અને મુંબઈની જ વી.જે.ટી.આઈ. (વિકટોરિયા જ્યુબિલી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ, માટુંગા) કોલેજમાં મિકેનિકલ એંજિનિયરિંગમા એડમિશન લીધું. અત્યાર સુધી માત્ર ચાર વિષયમાં સારા માર્ક લાવવા માટે ધ્યાન આપવું પડતું હતું, પણ એંજિનિયરિંગના પહેલા વર્ષમાં જ ૯ વિષયો હતાં એટલે પહેલા વર્ષની પરીક્ષામાં ૯ માથી ૬ વિષયોમાં પાસ થયો અને ૩માં નાપાસ થયો. આખું વર્ષ પાછું કરવું પડ્યું. મહેનત કરીને ઓક્ટોબરમાં બધા વિષયોની ફરી પરીક્ષા આપી. આખી યુનિવર્સિટિમાં ૩૦૦માંથી બીજે નંબરે પાસ થયો. બીજું વર્ષ જૂનમાં ચાલુ થવાનું હતું માટે છ મહિનાનો અવકાશ હતો. મારા એક મિત્રએ મને ફિનલે મિલ્સમાં સ્ટેટિસ્ટિક્સ વિભાગમાં નોકરી અપાવી. મહિને રૂપિયા ૨૪૦નો પગાર હતો. પહેલા મહિનાનો પગાર મેં મારા કાકાના હાથમાં મૂક્યો તો એ ખૂબ ખુશ થઈ ગયાં હતાં. બરાબર એ સમયે મારી શાળાનો મિત્ર સુરેશ દાણી ફરી મારા સંપર્કમાં આવ્યો. મારી જેમ તે પણ પહેલા વર્ષમાં નાપાસ થયો હતો. મોટાભાગના મારા શાળાના મિત્રો મારી સાથે મારી કોલેજમાં જ હતાં. સુરેશ દાણી અને હું બંને નાપાસ થયાં હતાં એટલે સાથે ભણતા. પણ સુરેશને મારું મિલમાં નોકરી કરવું નહોતું ગમતું. તેણે મને ઘણો સમજાવ્યો કે આપણે બંને ટ્યુશન કરીએ, એક-બે ટ્યૂશનમાં જ બસોથી અઢીસો રૂપિયા ક્માઈ લેશું, મિલમાં કામ કરવાની જરૂર નથી. અને થયું પણ એમજ, એણે મને ટ્યૂશનો અપાવ્યા અને હું મહિને ૭૦૦ થી ૮૦૦ રૂપિયા કમાતો થઈ ગયો.
હું મોટાભાગે સુરેશ દાણીને ઘરે જ સમય વિતાવતો. એક દિવસ એના પિતા પ્રાણજીવન કાકાએ મને કહ્યું, “મારે તારી જરૂર છે, આ તારો મિત્ર અમારા જ માળામાં રહેતી એક છોકરીના પ્રેમમાં પડ્યો છે અને એને લીધે જ નાપાસ થયો છે, એનું ધ્યાન ભણવામાં ઓછું ને એ છોકરીમાં વધારે રહે છે, તું એને સમજાવ કે ભણવામાં ધ્યાન આપે અને એ છોકરીથી દૂર રહે.” મેં કહ્યું,”ભલે કાકા હું પ્રયત્ન કરીશ.” ત્રણ-ચાર મહિના પછી મેં કાકાને કીધું કે,”મેં ખૂબ કોશિશ કરી પણ એને માટે એ છોકરીને ભૂલવાનું શક્ય નથી, એ બંને એક બીજાને ખૂબ પ્રેમ કરે છે.” તેમનાં મા-બાપે નિર્ણય લીધો અને લગ્ન નક્કી કરીને એમને પરણાવી દીધા. મારો મિત્ર સુરેશ દાણી એની પ્રેમિકા મંજુલા સાથે પરણી ગયો અને ૫૦ વર્ષથી દાંપત્ય જીવનનો આનંદ માણી રહ્યો છે. પરિવારની સહાયતાથી તે પોતાની મહત્વાકાંક્ષા રૂપે સફળ કોચિંગ વર્ગો સ્થાપી શક્યો. તેનું માનવું છે કે ભારતમાં જ કોઈ પણ યુવાન સફળ થઈ શકે છે અને વિદેશ જવાની જરૂર નથી. તેણે પોતાના ત્રણે પુત્રોને એંજિનિયરિંગમા સ્નાતક કર્યા અને વિદેશ મોકલવાને બદલે એના જ વ્યવસાયમાં સ્થાયી કર્યા.
એંજિનિયરિંગ કોલેજમાં ગુજરાતી મંડળ
વી.જે.ટી. આઈ.માં અમે ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કરી. હું પ્રમુખ અને મારો ખાસ મિત્ર પ્રવિણ પાઠક ઉપપ્રમુખ બન્યા. એક રંગસંધ્યાનું આયોજન કર્યું. ભવંસમાં સ્પર્ધામાં નાટક રજૂ કર્યું. નાટકમાં નારી પાત્ર ભજવવા માટે છોકરી ક્યાંથી લાવવી? પ્રવિણ પાઠકે રૂઈયા કોલેજમાં ભણતી નલિની ગોકળગાંધીને તૈયાર કરી. ગણિત, વિજ્ઞાન અને યાંત્રિક કોલેજને અમારા ગુજરાતી મંડળે સાહિત્ય રસિક અને કલાપ્રેમી બનાવી. પ્રમુખ તરીકે એક વસ્તુ શીખવા મળી. તમારી સમિતિમાં જે કાર્યકરો હોય તેમની નિષ્ઠા, સમર્પણ સફળતા લાવે છે.
મિત્રની સ્મૃતિ
૧૩ સપ્ટેંબર ૨૦૧૮ને દિવસે કાકીને ૮૦ વર્ષ પૂરા થતા હતાં. કાકીનું ઋણ તો જન્મોજન્મ ચુકવી શકાય તેમ નથી તે છતાય કાકીને ૮૦ વર્ષ પૂરા થતા હતાં. તે નિમિત્તે એક ભોજન સમારોહનું આયોજન મેં મુંબઈમાં કર્યું. થોડા મિત્રો અને સગા વહાલાને બોલાવ્યા હતાં. તે વખતે મારા એક અંગત મિત્ર મનહર રાઠોડને આમંત્રણ આપવા હું તેના ઘરે ગયો ત્યારે તેણે જે વાત કરી તે ચોંકાવી નાખે તેવી હતી.
૧૯૭૧માં મનહરે અમેરિકા ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન મેળવ્યું. મુંબઈથી અમેરિકા જતા પહેલા મનહર વીરપુર જલારામ બાપાના દર્શને ગયો. વીરપુરની યાત્રાથી પાછા ફરતા તેની બસનો અકસ્માત થયો. બસ ઊંધી પડી ગઈ. મનહરને માથામાં ચોટ લાગી અને તે પોતાની યાદદાસ્ત ગુમાવી બેઠો. મનહર બધા સામે જોયાં કરે પણ કોઈને ઓળખી ના શકે. લગભગ છ મહિનાની સારવાર પછી કુટુંબનાં માણસોને ઓળખતો થયો. મુંબઈ આવી મનહર ફરીથી કક્કો બારાખડી શિખ્યો. દરેક ધોરણનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. તેમાં તેનાં સગા અને મિત્રોએ ખૂબ સહકાર આપ્યો. પછી કોલેજનાં ૨ વર્ષ અને એંજિનિયરિંગના ૪ વર્ષનાં પુસ્તકોનો અભ્યાસ કરી પોતે સિવિલ એંજિનિયરિંગ ગ્રેજ્યુએટ છે એમ સાબિત કરી નોકરી મેળવી. મિત્રોના સહકારથી તેણે મકાન બાંધકામના ધંધામા ઝંપલાવ્યું અને ખૂબ કમાયો.
આ મનહર જ્યારે કાકીના ભોજન સમારોહમાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તેને અમારા કોલેજનાં એ દિવસો યાદ છે જ્યારે તે એક દિવસ મારા ઘરે આવ્યો હતો. મેં તેના માટે ખિચડી શાક બનાવી જમાડ્યો હતો.
મને એમ કે મનહરની સ્મ્રુતિ પુસ્તકોનાં અભ્યાસથી પાછી આવી હતી. પણ ૧૯૬૪માં બનેલ ઘટના કોઈ પુસ્તકમાં નહોતી. હવે મને શ્રદ્ધા અને વિશ્વાસ બેસી ગયાં કે મનહરની સ્મ્રુતિ સંપૂર્ણપણે વાપસ લાવવા.માટે જલારામ બાપાનાં જ આશીર્વાદ છે.
નંદ યશોદા સ્વરૂપ કાકા કાકીઃ
કાકી મારા જીવનમાં હું ૧૨ વર્ષનો હતો ત્યારે આવ્યા. ત્યારે હું ખૂબ નાદાન અને જિદ્દી હતો. કાકા કાકીને મેં ઘણા તંગ કર્યાં. પરંતુ કાકાએ મારા માબાપને વચન આપેલ તે પાળીને મને મોટો કર્યો. અમારા દરજી કુટુંબમાં છોકરો ૧૪ વર્ષનો થાય એટલે તેને ધંધે લગાડી દે. દરજીનો દીકરો, જીવે ત્યાં સુધી સિવે. ભણવું હોય તો ભણો પણ સાથે સાથે દરજીકામ પણ શીખે. અન્ય સગાં વહાલા કાકા પર દબાણ લાવતા હતાં કે આ છોકરાને કામ શીખવો. એકલા ભણતરથી કંઈ વળવાનું નથી. પરંતુ કાકા અડગ રહ્યા. મને ભણાવ્યો, ગણાવ્યો. વર્ષો પછી મને સમજ આવી કે બંને કાકા કાકીએ મારા માટે કેટલો ભોગ અને ત્યાગ આપ્યો. મારી બાના અવસાન પછી મેં કાકીને ભેટી પડીને રડતે મુખે કબૂલ કર્યું કે કાકી, મેં તમને ઓળખવામાં ભૂલ કરી છે. તમે તો મારા યશોદા મા છો. મારી જન્મદાતા મા તો મારા મામાને ત્યાં જતી રહી હતી, પણ મને મોટો કરવાનો, સંસ્કારો આપવાનો અને ઉચ્ચ શિક્ષણ આપવાનો ખરો યશ તો તમને જ અપાય. એ એકરાર પછી કાકી અને મારા સંબંધોમાં સોનામાં સુગંધ પૂર્યા જેવું થયું.
કાકા કાકી અંધેરી જે રૂમમાં રહેતા હતાં તેમાં ૨૦૦૧ થી ૨૦૦૫ સુધીમાં ૪ વખત ૫ થી ૭ ફૂટ જેટલું પાણી ચોમાસા દરમ્યાન ભરાઈ જતું. ૨૦૦૭ માં તેમને માટે એક ફ્લેટ પહેલે માળે લીધો અને પાણીનો પ્રશ્ન ટળી ગયો. ૨૦૧૦માં કાકાના અવસાન પછી કાકી ૬ વર્ષ ત્યાં રહ્યાં. નિવૃત્તિમાં હું અવારનવાર મુંબઈ આવન જાવન કરતો. કાકી સાથે રહેતો. સુખ દુઃખની વાતો કરતા ભૂતકાળની સ્મ્રુતિ તાજી કરતા અને આનંદથી સમય પસાર કરતા. કાકીએ અમને ભાઈ-બહેનને સંપીને અને એકમેકની સાથે પ્રેમ આનંદથી રહેવાની શીખ અને પ્રેરણા આપી છે જે અમને જીવનભર યાદ રહેશે. તેમના પુત્ર ભરતભાઈ મારા કપડા માપસર બંધબેસતા સીવી આપે છે અને નાનો પુત્ર યોગેશ મારું મુંબઈને લગતું કાર્ય નિષ્ઠાથી કરી આપે છે.
વહાલના સ્રોત સમા એ કાકી પણ અમને સૌને રડતા મૂકી ફેબ્રુઆરી ૨૦૨૨માં દેવલોક સિધાવી ગયાં.
વિહંગાવલોકન
મારું જીવન નસિબવંતુ છે. બાળપણમાં દાદીમા, આઠ વરસ સગી જનેતા, પછી કાકી, અમેરિકામાં વહાલસોયી પત્ની, મારી બા, અને બે પુત્રીઓનો ભરપુર સ્નેહ મને મળ્યો છે. મારા જન્મ પછી ભારતને આઝાદી મળી. ૨0-૨૨ વર્ષો સોનેરી કાળ સમા હતાં. એવો જ સોનેરી કાળ અત્યારે હ્યુસ્ટનમાં પ્રતિત થાય છે. દરેક કોમનાં લોકો અહીં હળીમળી રહે છે. સાહિત્ય, ધર્મ, કલા અને સામાજિક કાર્યક્રમોમાં સમય સુંદર રીતે પસાર થાય છે. જનસેવા અને પ્રભુસેવાના અનેક મોકા મળતા રહે છે. ખરેખર, સૌનો પ્રેમ અને સહકાર પામી ૭૫ વર્ષ ક્યાં પસાર થઈ ગયા તે ખબર જ ન પડી.
આશા છે કે જન્મોજનમ મને આ સહકારની કેડી મળ્યા કરે અને જીવનને નવપલ્લવિત કર્યા કરે.
અસ્તુ.
સમાપ્ત
હવે પછી – સપના વિજાપુરા : જિંદગીકા સફર
-
વામા-વિશ્વ : અંબાતી મોન્યુકાના અગ્નિપથની વાત
૧૩૨ વર્ષ પછી કોલસાની ખાણમાં કામ કરતી આધુનિક ૨૫ વર્ષની યુવતી અંબાતી મોન્યુકાના અગ્નિપથની વાત.
અનુરાધા દેરાસરી.
‘તું રુકેગી નહીં કભી,
તું મુડેગી નહીં કભી,
તું ન ઝુકેગી કભી,
કર શપથ, કર શપથ,
અગ્નિપથ, અગ્નિપથ…’૧૩૨ વર્ષ પછી કોલસાની ખાણમાં કામ કરતી આધુનિક ૨૫ વર્ષની યુવતીના અગ્નિપથની વાત. અંબાતીએ કોલસાની ખાણમાં ઈતિહાસમાં નવું પાનું ખુલ્લું મૂક્યું છે.

તેલંગણા રાજ્યની સિંગેરી કોલિયરીઝ કંપની લિમિટેડ કોલસાની ખાણમાં જવા એક ૨૫ વર્ષની આધુનિક યુવતી હેલમેટ સરખી કરી રહી છે. પછી હેલમેટ ઉપરનો લેમ્પ સરખો કરે છે, જે અંદર જઈ કોલસાની ખાણની સલામતી જુએ, ત્યારે ખાણના અંધારામાં પ્રકાશ ફેલાવી મદદ કરે છે. આ યુવતી અંદર જઈ રેસ્ક્યૂ (બચાવ) કરતી ટીમની મહિલા ઓફિસર છે.
જ્યાં એમ જડબેસલાક માન્યતા હતી કે, કોલસાની ખાણમાં ફક્ત પુરુષો જ કામ કરી શકે, તે પરંપરાગત બેડી તેલંગણાની માઇન એન્જિનિયર અંબાતી મોન્યુકાએ તોડી બતાવી છે અને અંડર ગ્રાઉન્ડ રેસ્ક્યૂ (બચાવ) ટીમમાં કામગીરી બજાવી રહી છે. જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં, નવા પગરણ મંડાય છે ત્યારે ઈતિહાસના પાનાં ફેરવાય છે અને નવો ઈતિહાસ રચાય છે. આધુનિક અંબાતીએ પણ સિંગેરી કોલસાની ખાણના ઈતિહાસમાં નવું પાનું ખુલ્લું મૂક્યું છે.
તેલંગણાના મધ્યમ પરિવારની દીકરી અંબાતી મોન્યુકાનો ઉછેર સામાન્ય પરંતુ ભણવામાં ખૂબ હોંશિયાર. આથી ધોરણ બારમા પછી, સારું પરિણામ આવવાથી એન્જીનિયરિંગ લાઇન લેવાની ઈચ્છા ધરાવતી હતી. પરંતુ એન્જીનિયરિંગમાં અંબાતીને માઇન એન્જિનિયર થઈ, કોલસાની ખાણોમાં કામ કરવું હતું.
અંબાતીએ જ્યારે ઘરમાં વિચાર રજૂ કર્યો કે, તે માઇન એન્જિનિયર થઈ, કોલસાની ખાણોમાં કામ કરવા માંગે છે ત્યારે કુટુંબીજનો, સગાવહાલાં અને અન્ય લોકોએ રીતસર તેના વિચારોને તોડી પાડયા. તેમની દલીલો હતી, ‘કોઈ પણ યુવતી ગમે તેટલી આધુનિક હોય પરંતુ તે કોલસાની ખાણમાં માઇન એન્જિનિયર તરીકે કામ ના કરી શકે. કોલસાની ખાણમાં કામ કરવા માટે સખત શારીરિક ને માનસિક તાકાત જોઈએ અને હજુ સુધી કોઈ મહિલાએ આ રીતનું કામ કર્યું નથી.’
સમાજની આ નકારાત્મકતાની અંબાતી પર અસર થઈ. શરૂઆતમાં તેણે ઈલેક્ટ્રિકલ કે કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનો વિચાર કર્યો. પરંતુ તેના દૃઢ મનોબળ, સાહસિક સ્વભાવ અને કંઈક નવું કરવાની વૃત્તિએ આ એન્જીનિયરિંગમાં નન્નો ભણ્યો અને માઇન એન્જિનિયરિંગમાં જ પ્રવેશ લીધો.
કાટગોદામ માઇન એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ લઈ ભવિષ્યમાં કોલસાની ખાણમાં કામ કરવાના તેના અગ્નિપથ પર ચાલવાની શરૂઆત કરી. તેણીના પિતા તેના પ્રેરણા સ્ત્રોત બન્યા. બધાની દલીલો નકારાત્મક રહી, જ્યારે અંબાતીના પિતાનું કહેવું હતું, ‘નાનપણથી ભણવામાં હોંશિયાર અને કંઈક નવું કરવાની સાહસિકવૃત્તિવાળી અંબાતી જરૂર માઇનિંગ એન્જિનિયર તરીકે આગવું કામ કરી બતાવશે.’
માઇન એન્જિનિયરિંગ કરી, અંબાતીએ હિન્દુસ્તાન ઝીંકમાં અનુભવ લીધો અને તેલંગણાની સિંગેરી કોલેરિયઝ કંપની લિમિટેડમાં નોકરી માટે એપ્લાય કર્યું. ખાણના રેસ્ક્યૂ ઓફિસર તરીકેના ઈન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું કે, ‘અમારા ૧૩૨ વર્ષના ઈતિહાસમાં કોલસાની ખાણમાં કોઈ યુવતી/મહિલાએ કામ નથી કર્યું. મહિલાઓની શારીરિક અને માનસિક તાકાત ખાણમાં કામ કરવાની હોતી નથી તો તમે કેવી રીતે રેસ્ક્યૂ ઓફિસર તરીકે કામ કરશો ?’
જેના જવાબમાં અંબાતી મોન્યુકાએ જવાબ આપ્યો, ‘ક્યાં એવું લખ્યું છે કે, સ્ત્રીઓ ખાણમાં કામ ન કરી શકે ? મને જો તક મળશે તો હું બતાવી આપીશ કે સ્ત્રીઓ ફક્ત ગૃહકાર્ય માટે જ નથી સર્જાઈ, જો તેને તક આપવામાં આવે તો તે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ કાર્ય કરી શકે છે, પછી એ આભ હોય કે ધરતી.’
અંબાતીનો આટલા નિર્ભય અને મક્કમ નિર્ણય જવાબે અંબાતીને સિંગેરી કોલેરિયઝ કોલસાની ખાણમાં નોકરી મળી ગઈ.
આ પછી રેસ્ક્યૂ ટીમ માટેની નાગપુરમાં ૧૪ દિવસની ટ્રેનિંગ શરૂ થઈ. આ ટ્રેનિંગ જ ખૂબ કઠીન હતી. જેમાં સવારે વહેલા ઊઠવાનું, દોડવા જવાનું પછી સવારના નવથી રાતના આઠ સુધી જુદી જુદી કસરતો, મેડિટેશન કરવાનું. ત્યારબાદ દરરોજ કોલસાની ખાણનું ઈન્સ્પેકશન કેવી રીતે કરવાનું વગેરે ટ્રેનિંગ લેવી પડી.
આ બેચમાં એકલી યુવતી હોવા છતાં તે ટ્રેનિંગમાં ઘણી આગળ રહી. ત્યાંના મેનેજરનું કહેવું હતું કે, ‘ખૂબ બહાદુર છોકરી છે. કોલસાની ખાણની કામગીરીમાં તે જરાય ગભરાતી નથી. તે ઉત્તમ રેસ્ક્યૂ ઓફિસર બની રહેશે.’
અંબાતી મોન્યુકા અહીં જીભભન્માં એક વર્ષથી કામ કરે છે. તેની કામગીરીની શરૂઆત હેલમેટ અને લેમ્પ વ્યવસ્થિત પહેરી, પોતાની ટીમને લઈને સિંગેરી કોલસાની ખાણમાં તાપમાન, ગેસનું પ્રમાણ વગેરે ચેક કરવાનું હોય છે. કોઈવાર ખાણમાં પથ્થરોનું સ્લાઇડિંગ થાય અને મજૂરોને ઈજા થાય તો તરત અંદર દોડી જઈ, તેમની બચાવગીરીનું કામ તત્કાલ કરવાનું હોય છે. જો કોઈ મજૂરોને ઈજા થાય તો તેમની સારવારની તત્કાલ જવાબદારી અંબાતીની છે. ઉપરાંત કોલસા શોધવા ખાણમાં ડ્રિલિંગ થાય ત્યારે પણ તેણે અંદર ઉભા રહી, સાવચેતી રાખવાની હોય છે. ખાણમાં આગ લાગવાની શક્યતા ઘણી વધારે હોય છે આથી આગથી બચાવગીરીની જવાબદારી પણ રેસ્ક્યૂ ઓફિસરની હોય છે.
કોલસાની ખાણમાં ઠંડક જાળવવા માટે મિથેન ગેસનો ઉપયોગ કરાય છે. વેન્ટિલેશન માટે દીવાલોમાં વાતાયનની સગવડ હોય છે. આ ખૂબ નાજુક કામગીરી છે. મિથેન વાયુ લિકેજ ના થાય એ જોવાની જવાબદારી પણ રેસ્ક્યૂ ઓફિસર એટલે અંબાતી મોન્યુકાની છે.
આમ કોલસાની ખાણનું કામ,રેસ્ક્યૂ ઓફિસર માટે ખૂબ જવાબદારીભર્યું છે. અંબાતી મોન્યુકાના ઉપરી અધિકારીઓનું કહેવું છે કે, અંબાતી મોન્યુકા હજુ ઘણી ઉંમરમાં નાની અને તાજી જ નોકરીમાં જોડાઈ હોવા છતાં તેણે તેના રેસ્ક્યૂ કામમાં માસ્ટરી મેળવી લીધી છે.
આનંદની વાત એ છે કે સિંગેરી કોલોરાઇઝ લિમિટેડ કંપની બીજી ૧૨૦ યુવતીઓની બેચ તૈયાર કરી રહી છે, જે કોલસાની ખાણોમાં રેસ્ક્યૂ ઓફિસરની કામગીરી કરશે. અત્યારે તેને ટ્રેનિંગ અપાઈ રહી છે.
-
ઢળતું જાતું
લતા હિરાણીઢળતું જાતું અજવાળું ને આવી ઊભી રાતદીવો ઝીણો ઝળઝળ થાતો, ઝાંખી થાતી ભાતહવે તો આવી ઊભી રાત….આંખ આંજતું અંધારું, આ આવી ઊતર્યું હેઠેપળપળની પોઠો બિચ્ચારી ભલે જુદારો વેઠેજળમાં ભળતી જાત, હવે તો આવી ઊભી રાત….ઉકલે ના અક્ષર આથમતા, ઝલમલ દેશો ડૂબેતૂટે આવનજાવન સઘળી, પિંડ-પદારથ ખૂટેવિખરાતી રે વાત, હવે તો આવી ઊભી રાત…..
:આસ્વાદઃ
દેવિકા ધ્રુવ
આજની સવારે એક મઝાનું ગીત વાંચવામાં આવ્યું અને જાણે સવાર સુધરી ગઈ. પહેલી નજરે લાગે કે,અજવાળા, અંધારા, સાંજ,રાત અને દીવાની વાત છે. હા, છે પણ માત્ર એ જ વાત નથી, અને એ જ તો આ કાવ્યની ખૂબી છે. જે કંઈ નથી કીધું તે બધું ખુલી ગયું છે. કારણ કે, એ માત્ર રચનાકારની સ્વાનુભૂતિ નથી. પણ સર્વાનુભૂતિ હોઈ સૌ કોઈને સ્પર્શે છે.
સાવ નાની, માત્ર બે જ ટૂંકા અંતરામાં રચાયેલી આ કવિતાનો આસ્વાદ કરવાનું મન થાય જ, થાય.
ઢળતું જાતું અજવાળું ને આવી ઊભી રાત..
દીવો ઝીણો ઝળઝળ થાતો, ઝાંખી થાતી ભાતસાંજની સાથે જ અજવાળું પણ ઢળે અને અજવાળું ઢળે એટલે કે રાત પડવા માંડે એ એક કુદરતનો નિયમ છે. એ હકીકતને માનવ-જીવન સાથે જોડીને કવયિત્રી તરત જ બીજી પંક્તિમાં કહે છે કે, ઝીણો દીવો ઝળઝળ થાય ને તેવે વખતે આખીયે ચોક્ખી દેખાતી ભાત ઝાંખી થતી લાગે. આ દીવો એટલે કે, કાયાના કોડિયામાં ભીતર રહેલો આતમનો દીવો. એ દીવો ખરેખર તો ઝળહળતો હોય. તો પછી ઝાંખુ કેવી રીતે દેખાય એ સવાલની સાથે જ નજર પડે છે ઝળઝળ શબ્દ પર. સામાન્ય રીતે દીવાની સાથે ઝળહળ શબ્દ જાય. પણ અહીં ‘ઝળઝળ’શબ્દ પ્રયોજાયો છે. આંખમાં આવતાં ઝળઝળિયાંનો અર્થ અભિપ્રેત છે. ઝળઝળિયાને કારણે ઝાંખું દેખાય. ને ત્યારે ક્ષણભંગુર શરીરના અંગોનો અર્થ ખુલે છે. જીવનના સાંજના પડાવે ગાત્રો ઢીલા અને ધીમા પડે છે. ખૂબ ચાલ્યાંનો થાક વર્તાય છે. આંખે ઝાંખપ વળે છે. અંધારાં ઘેરી વળે છે.
એ જ ભાવને બીજા અંતરામાં કવિ રૂપકો અને સજીવારોપણ થકી વ્યક્ત કરે છે. જાણે કે કોઈ આવી આંખમાં કાજળ નહિ,અંધારું આંજી જાય છે. પળેપળ સાવ અલગ અલગ વર્તાય છે. કંઈક ને કંઈક નવી નવી વ્યાધિઓ આવતી રહે છે. ક્ષણની માફક જ એક જાય ને બીજી આવીને ઊભી જ રહે છે. દિવસને અંતે ઉતરતા જતાં અંધારાંની માફક જ રાખનાં આ રમકડાં અંતે જળમાં સરી જતાં સમજાય છે અને અનુભવાય છે. ‘જળમાંથી નીકળી આંગળી ને જગા પૂરાઈ ગઈ.’ઓજસ પાલનપુરીના એ મશહૂર શેરનો સૂર સંભળાય વગર રહેતો નથી. આ અંતરામાં એકમાત્ર જાત શબ્દ અહીં રાતનો ભેદ ખોલી આપે છે.
ને ત્યારે ઘડીભર એ કહેવાનું મન થાય કે,
” સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો અરે સૂરજ, ન લાવો રાત ધસમસતી.”બીજા અંતરામાં ક્રમિક રીતે રાતની જ વાત આગળ વધે છે. હજી ક્યાંય કવિએ ચોક્ખી રીતે જીંદગીને, શરીરને કે મૃત્યુને વર્ણવ્યું નથી. એ તો રાતની જ વાત કરે છે. બાકીનું તો ભાવકના મનોજગતને માટે છોડી દે છે. એ કહે છે કે, જેમ જેમ અંધારું થતું જાય છે તેમ તેમ આંખે અક્ષરો ઉકેલાતાં નથી, બધું અંધકારમાં ડૂબતું જણાય છે, જીવનની તમામ દૈનિક ક્રિયાઓ, અવરજવર બધું શમવા લાગે છે,વાતો વિખરાઈ જાય છે અને અંતે પિંડ પણ પોઢી જાય છે.
ઉકલે ના અક્ષર આથમતા, ઝલમલ દેશો ડૂબે
તૂટે આવનજાવન સઘળી, પિંડ-પદારથ ખૂટે
વિખરાતી રે વાત, હવે તો આવી ઊભી રાત…..આ અંતરામાં પણ એક જ એવો શબ્દ મળે છે જે આપણને છૂપાયેલા ગૂઢાર્થ તરફ દોરી જાય છે. ‘પિંડ પદારથ’. કેટલો સરસ શબ્દ છે? ‘પદારથ’. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’ કવયિત્રીના મનમાં નરસિંહ મહેતાની ઘેરી અસર છે. તેમણે અગાઉ પણ નરસિંહ મહેતા માટે એક સુંદર સ્તુતિગાન આપ્યું છે કે “આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો”.
હા, તો આ પદારથ ખૂટે ત્યારે શું શું થાય છે? રાત પડવા માંડે ને દુનિયાનું રોજીંદું જીવન જંપી જાય; બરાબર તે જ રીતે જીંદગીની રાત નજીક આવે ત્યારે આંખે દેખાવાનું બંધ થાય, નાડીઓ તૂટવા માંડે, શ્વાસ રુંધાવા લાગે, પાંચે ઇન્દ્રિયો લથડવા માંડે અને આખાયે આયખાની વાતો વિસરાતી અને વિખરાતી ભાસે. આ એક સનાતન સત્ય છે. એને સ્વીકાર્યા સિવાય બીજો કોઈ પર્યાય ક્યાં છે? સદીઓથી સંતોએ, કવિઓએ અને કલાકારોએ અલગ અલગ અંદાઝમાં આ વાત સમજાવી છે.
અહીં પ્રયોજાયેલ ‘હવે’ શબ્દ પણ કેટલો સૂચક છે? અર્થોનાં ઘણાંબધાં દ્વાર ઉઘાડી દે છે. હંસલા હાલોને હવે…મોતીડાં નહિ રે મળે.. હવે.. હવે એટલે કે, ઢળતી સાંજની જેમ જ જિંદગીનો આ અંતિમ પડાવ છે. સવારથી માંડીને સાંજ સુધી ઘણું બધું કરી લીધું છે. પામવાનું હતું તે પામી લીધું છે, આપવાનું હતું તે આપી દીધું છે. અરે, રડવું, હસવું, દોડવું, ચડવું, પડવું, વેઠવું, વધાવવું, સ્વીકારવું, સત્કારવું…તમામ કામો અને ક્રિયાઓ કરી લીધી છે. હવે બાકી કશું રહ્યું નથી. રહ્યું છે તે માત્ર હવે..હવે આવી ઊભેલી રાતને, એના અંધકારને જોવાનો,એને પણ સ્વીકારીને સત્કારવાનો અને ભેટવાનો.
આવી સુંદર કવિતા ત્યારે જ લખાય જ્યારે નિકટથી અને ભીતરથી જાતને ઝંઝોડી હોય, સમજણનો દીવો સતત પ્રગટાવેલ રાખી જાણ્યો હોય અને મનને સ્વસ્થ રહેવા કેળવ્યું હોય. આ કવિતાની વધુ વિશેષતા એ છે કે, એમાં ઓછામાં ઓછા અને ઉચિત શબ્દો પ્રયોજાયા છે.’જળમાં ભળતી જાત’ વાંચતા તો નજર સામે નદીમાં પધરાતા અસ્થિ-વિસર્જનનું ચિત્ર ખડું થાય છે. અંત્યાનુપ્રાસ-રાત, ભાત, વાત, હેઠે, વેઠે, ભેટે વગેરે- કેવા સહજપણે ગૂંથાઈ ગયા છે! શાંત વહેતા સરોવરનાં જળ જેવો હળવો લય પણ ચિત્તમાં સતત ગૂંજ્યા કરે તેવો છે અને આદિથી અંત સુધી કવિતાનું મુખ્ય હાર્દ પણ સુપેરે જળવાઈ રહ્યું છે.
કવયિત્રી લતાબહેન હિરાણીની કલમને સલામ.
અસ્તુ.
Devika Dhruva.- ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
