વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • વામા-વિશ્વ – કાગળ વીણવાથી જીનીવાના પોડીયમ સુધી : સુમન મોરે

    આલેખનઃ અનુરાધા દેરાસરી

    ૨૦૨૪ના જૂન મહિનામાં સ્વીઝરલેન્ડના જીનીવા શહેરમાં ૧૦૪મી ઇન્ટરનેશનલ, લેબર કોનફરન્સ ચાલી રહી છે. બે વક્તાના વક્તવ્ય પછી, એક સાદી સાડી, કપાળ પર મોટો ચાંલ્લાવાળી ભારતીય સ્ત્રી, ઇન્ટરનેશનલ પોડીયમ પર પહોંચે છે અને પોતાનું વક્તવ્ય શરૂ કરે તે પહેલા દેશ-વિદેશમાંથી આવેલા ૨૦૦૦ પ્રતિનિધિઓની તાળીથી ઓડીટોરીયમ ગુંજી ઉઠે છે. આ સ્ત્રી ભણેલી નથી પણ તેની શરૂઆત કરે છે. હું તેર વર્ષની હતી ત્યારથી રસ્તા પર કાગળ તેમજ અન્ય ચીજ વીણવાનું કામ કરું છું. આ શબ્દોનું ભાષાંતર અંગ્રેજીમાં થાય છે અને ફરી તાળીઓથી હોલ ગુંજી ઉઠે છે.

    આ, રસ્તા પર કાગળ વીણવા અને અન્ય ચીંથરા વગેરે વીણવાના રસ્તેથી ઇન્ટરનેશનલ પોડીયમ સુધી પહોંચનાર સ્ત્રી, એટલે પૂનાની સુમન મોરે. રેગપીકરસથી લેબર કોનફરન્સ સુધીની તેની જીવનયાત્રા એક અદભૂત પ્રેરણાની મીસાલ છે.

    સ્ત્રી ધારે તો પોતાની નારાયણી શક્તિ કામે લગાડી શું નથી કરી શક્તી? અશક્ય ને પણ તે શક્ય બનાવે છે. સુમન મોરેના માતા-પિતા ધંધાર્થે પૂના આવ્યા. અશિક્ષિત અને નીચલી વરણની વ્યક્તિઓને કોઈ વ્યવસાય ન મળવાથી તેમણે કાગળ, ચીંથરા વગેરે રેગ્સ વીણવાનો ધંધો શરૂ કર્યો. નાની ૧૩ વર્ષની સુમન પણ તેમની સાથે તે ધંધામાં જોડાઈ ૧૧ વર્ષ સુધી સતત કામ કર્યા પછી ૨૨ વર્ષે તેના લગ્ન થયા. પતિ પણ આજ વ્યવસાયમાં હતો તેથી રેગ્સ કાગળ, ચીંથરા વગેરે વીણવાના ધંધામાં મદદે લાગી ગઈ. ચાર બાળકો થતાં, છના કુટુંબ માટે આ કાગળ વીણવાની પ્રવૃત્તિથી મળતા દિવસના ૩૦-૪૦ રૂની આવક ઓછી પડવા માંડી. બાળકો માટે શિક્ષણ તો કલ્પનાની બહારની વસ્તુ હતી.

    આ નીમ્ન કક્ષા ગ્રાસ રૂટ લેવલમાંથી બહાર કેવી રીતે નીકળવું તે સુમન સતત વિચારતી. પોતાના ઉપરાંત પોતાની સાથે કાગળ વીણતી સ્ત્રીઓની દશા જોઇને પણ તે અત્યંત વિચારમાં પડી જતી.

    સુમન મોરે, પોતાની અને અન્ય રેગ્સ પીડરર્સ સ્ત્રી મહિલાઓની વાત કરતાં કહે છે કે, ‘અમારેમ માટે શારિરીક તેમજ સામાજિક અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. સવારે વહેલા રસ્તાઓ ખાલી હોય ત્યારે, કાગળ વગેરે વીણવા નીકળવું પડે, એટલે શિયાળાની સવારે કે અંધારૂ હોય ત્યારે કૂતરા પાછળ પડે. ઘણી બહેનોને કૂતરા કરડી ચૂક્યા છે. જેના ઇન્જેકશન વગેરે લેવા પડે. બીજું ખાસ કરીને અમે જ્યારે રસ્તા પર વીણતા હોઈએ ત્યારે ઘણીવાર ચાલનારા અમને ચોર સમજે એટલે ઘણીવાર અમારે પોલીસ સ્ટેશને પણ જવું પડયું છે. ઉપરાંત આપણા સમાજમાં જ્ઞાાતિવાડા હોવાને લીધે અમારી ન્યાત નીચી ગણી ઘણીવાર અમે અન્ય લોકો દ્વારા હડધૂત પણ થયા છીએ. ઉપરાંત ૯ કલાકથી વધારે કામ કરવા છતાં દૈનિક આજીવિકા ખૂબ ઓછી થતી, આથી હું કંઇક આમાંથી રસ્તો શોધવાના પ્રયાસમાં હતી.

    શીદ્દતથી ચાલનારને હંમેશા રસ્તો મળી જ રહે છે.

    સુમન અને તેમની વસ્તીમાં ણણઁણઁ નામની સંસ્થાના સામાજિક કાર્યકરોને એક્ટીવીસ્ટની અને તેમણે બધો જ કચરો, રેગ્સ વીણનારી બહેનોને આ સંસ્થામાં જોડાવવાનું સૂચન કર્યું. લગભગ બધી બહેનોએ વિરોધ કર્યો, પરંતુ સુમને પોતાની કોઠાસૂઝ કામે લગાડી અને આ સંસ્થામાં જોડાઈ.

    સુમનને સૌથી મોટો ફાયદો એ થયો કે, તેના કામના કલાકો નક્કી થાય. વહેલી શિયાળાની કે ચોમાસાની અંધારી સવારોએ નીકળવાનું વગેરે બંધ થયું. અત્યાર સુધી સુમન રસ્તા પરથી જ લોખંડ, પ્લાસ્ટીક વગેરે કચરો વીણતી અથવા જનરલ ડસ્ટબીનમાંથી વીણતી, કોઈ સોસયટી કે ફ્લેટોની અંદર કેમ્પસમાં અથવા તેમની ડસ્ટબીનો જોવાની પરવાનગી નહતી. આ સંસ્થાને કારણે પ્રાઈવેટ સોસાયટીઓ, બંગલાઓ, ફ્લેટો વગેરેમાં જવાની પરવાનગી મળી. સુમનનો સ્વભાવ ખૂબ સાલસ ને પ્રેમાળ હોવાથી કેટલાક ઘરોમાં બોલચાલનો સંબંધ શરૂ થયો અને તેને ક્યારેક ક્યારેક ચ્હા નાસ્તો પણ મળવા લાગ્યો.

    કામ વધવાથી સુમનને કાગળ, લોખંડ, પ્લાસ્ટીક અને અન્ય રેગ્સની વધુ વસ્તુઓ મળવા લાગી. જે ઘેર આવી બાળકોની મદદથી તે છૂટી પાડતી. જેની કમાણી પણ વધારે થવા લાગી.

    આના પરથી સુમનને વિચાર આવ્યો કે પૂનાની મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વાતચીત કરીએ તો જરૂર વધારે સારી ફલશ્રુતિ મળે. કામ પણ વધારે મળે તેણે બીજી બહેનોને પણ આ વિચારમાં સામેલ કરી. વસ્તીની અન્ય કચરો વીણનાર મહિલાઓએ આ સંસ્થાના લાભાલાભ જોયા આથી તેઓ પૂના મ્યુનિસિપલ કોર્પોરેશનને મળવા તૈયાર થઈ.

    સુમનના નેતૃત્વમાં બધી કચરો વીણનાર બહેનો, પુના મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને મળી તેમણે પોતાની માગણી રજૂ કરી છે. મ્યુનિસીપલ ટ્રકોમાં જે કચરો તેને બદલ તે બહેનોને તે લેવાની પરવાનગી આપવામાં આવે. તેઓ બીજા ખાનગી વેસ્ટ મેનેજમેન્ટવાળી કંપનીઓને પણ મળ્યા. પી.એમ.સી. તેમની માગણીઓને મંજૂર કરી અને બધી બહેનોએ વિસ્તારો વહેંચી લીધાને કામગીરી શરૂ થઈ. તેમના કામને જોઇને, પુને મ્યુનિસિપલ કોર્પોરેશને આ રેગ્સ કામદાર બહેનોને આઈકાર્ડ આવ્યા, ઉપરાંત યુનિફોર્મપણ આપ્યા. આથી આ બહેનોનું કામ ખૂબ સરળ થઇ ગયું.

    તેમના કલાકો પણ નક્કી થયા. તેમને બપોરનાં ચોક્કસ સમયે ખાવાનો ચોક્કસ ટાઈમ મળવા લાગ્યો. આમ આ બહેનો પાસે આઈકાર્ડ અને યુનિફોર્મ આવવાથી લોકો તેમને ઘેર બોલાવી રેગ્સ વગેરે આપવા લાગ્યા. બહેનોને લોકો દ્વારા જે અપમાન થતું હતું તેને બદલે તેમનું માન અને ગૌરવ જળવાવા લાગ્યા. આ પગલું બહેનો માટે ખૂબ આવકાર્ય બન્યું અને તેને લીધે તેમની કામની ઝડપ અને ઉત્સાહ પણ વધ્યો. પૂના મ્યુનિસિપલ કોર્પોરેશન એન કેકેપીકે સંસ્થાએ અને પીએમસીએ આ બહેનોના બાળકોને ભણવા માટે સ્કોલરશીપ આપવા માંડી.

    સુમને પોતાના ચારે બાળકોને શાળામાં ભણવા મૂક્યા. આ અંગે સુમન કહે છે કે : ‘હું ભણી નથી. પણ આજના આધુનિક સમયમાં ભણતર ખૂબ અગત્યનું છે. આથી ટૂંકી આવકમાં અમે એકવાર જમીને પણ બાળકોને શાળામાં મોકલ્યા છે. આજે મારો એક છોકરો જર્નાલીઝમમાં ડબલ ગ્રેજ્યુએટ છે. બીજો દીકરો સી.એ. થયો છે, જ્યારે નાનો દીકરો બીકોમ કરે છે. દીકરી ભણી અને પરણીને સાસરે છે. અન્ય બહેનોના બાળકો પણ ભણે છે. દીકરાની વહુ કોલેજમાં ભણાવે છે.’

    આ ઉપરાંત સરકારે ખાસ વેસ્ટ અને રેગ્સ, કચરા વગેરે માટે શેડ વાળી જુદી જગ્યા આપી છે આથી બહેનો ત્યાં જઈ બધી વસ્તુઓ જુદી પાડે છે, જેમાં તેમની આવક પણ ઘણી વધી છે.

    આમ આજે સુમન મોરેને આ કાગળ વીણવાના વ્યવસાયમાં ૩૭ વર્ષ થયા. તેમના પ્રયત્નો અને આગવી સૂઝને કારણે વસ્તીની બધી જ બહેનો વિકાસ કરી શકે છે. તેમના આ કાર્યને ધ્યાનમાં લઇ એક પ્રકારના સન્માનરૂપે તેમને જીનીવા લેબર કોન્ફરન્સમાં આમંત્રણ આપ્યું, અને ત્યાં સુમનબહેને ખૂબ આત્મવિશ્વાસથી ભાષણ આપ્યું, જેનું દુભાષીયા વ્યક્તિએ અંગ્રેજીમાં રૂપાંતર કર્યું. સુમન મોરે કહે છે કે, આટલી મોટી કોન્ફરન્સ મારે માટે સપનું હતું. સાડી પહેરેલી હું જ એક મહિલા હતી અને નાની ખોલીમાં રહેનારા માટે સતત એસી એ બન્ને વસ્તુઓ ખૂબ આશ્ચર્યજનક હતી.

    ક્લાયમેક્સ હવે આવે છે…

    થરમેક્સ કંપનીના મેનેજીંગ ડીરેકટર અનુ આગા પોતાની શાળાના વાર્ષિક મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે સુમન મોરેને આમંત્રીત કર્યા અને સુમનબહેને બાળકોને સર્ટીફીકેટ આપ્યા.

    અનુ આગા દલીલમાં એટલું જ કહ્યું, ‘વ્યક્તિ તેના કાર્યથી મહાન બને છે નહિ કે જાતિ, વર્ણથી હું મારા બાળકોને આ શીખ આપવા માગું છું માટે કાગળ વીણનાર સુમન મોરે મારા મુખ્ય અતિથિ છે.’

     

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : અશોક વિદ્વાંસ – સેકન્ડ ઇનીંગ્સ [૨]

    પહેલાં આપણે શ્રી અશોક વિદ્વાંસની પહેલી ઇનિંગ્સના સોનગઢના પ્રાથમિક તબક્કાથી અવગત થયાં.
    હવે આગળ…….

    અમદાવાદ – કૉલેજ – અને આગળ

    એ સમયમાં અમદાવાદ ગુજરાતનું પાટનગર અને ખૂબ ધીકતું મહાનગર હતું.  સોનગઢ જેવાં નાનકડાં ગામડાંની સરખામણીમાં તો એ અતિશય મોટું હતું.  દાદાએ (મારા કાકા શ્રી ભાસ્કરરાવ વિદ્વાંસ) નવરંગપુરામાં મોટો બંગલો બંધાવ્યો હતો.  સોનગઢમાં અમે બધે ચાલીને જ જતા, મારા પહેલાં અમદાવાદ આવેલા મારા બંને મોટાભાઈઓ બધે સાઈકલ પર ફરતા.  સોનગઢમાં મારી પાસે પગરખાંની માત્ર એક જોડી હતી, અહીં બધા પાસે ’શૂઝ’ અને ચંપલ બંને હતાં.  સોનગઢમાં મારી પાસે બે કે ત્રણ ભૂરી ચડ્ડી અને ત્રણ કે ચાર સફેદ શર્ટ હતા.  અહીં બધા પાસે પેન્ટ-શર્ટની અનેક જોડ, ઉપરાંત પણ ઘણાં કપડાં હતાં.  અમદાવાદ મારા માટે અનેક રીતે મોટું હતું!

    દાદાનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું.  ત્યાંની પ્રસિદ્ધ ’શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર’ હાઈસ્કૂલમાં વીસ વર્ષથી તેઓ ભૂગોળ-ઇતિહાસ-સમાજશાસ્ત્ર વિષયો શીખવતા હતા.  એક આદર્શ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં તેઓ આદરણીય અને સાથે-સાથે જ પ્રિય હતા.  અમે અમદાવાદ ગયાં અને એક જ અઠવાડિયામાં જ્યારે એક રવિવારે સવારે મુરબ્બી શ્રી ઝીણાભાઈ (સ્નેહરશ્મિ) દેસાઈની સાથે મુ. શ્રી ઉમાશંકરભાઈ જોશી તેમને અને ભાઉને મળવા આવ્યા ત્યારે મને એ હકીકતનું ભાન થયું કે અમદાવાદના ભદ્ર સમાજમાં તેઓ કેવા પ્રતિષ્ઠિત હતા  એમની ઉત્સાહભરી વાતોથી મારા ધ્યાનમાં આવ્યું કે મીઠાનાં સત્યાગ્રહ વખતે દાદા અને ઉમાશંકરભાઈ જેલમાં ચક્કી પીસવામાં સાથી હતા!  કલાકેક વાતો કર્યા પછી ચારે જણા ઝીણાભાઈની ગાડીમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીને મળવા ગયા.  વળી એ પછીની એક સાંજે ’આર. આર. શેઠ’વાળા શ્રી ભગતભાઈ (હા, મારો ગુરુકુળનો સહપાઠી ભગત) એ સમયના ગુજરાતીના પ્રખ્યાત વાર્તાકાર શ્રી ઇશ્વર પેટલીકરને લઈ ભાઉને મળવા આવ્યા.  પછી તો જેને ’જ્ઞાન-ચર્ચા’ કહી શકાય એવી વાતો અમારા જ ઘરમાં મને અવારનવાર સાંભળવા મળી.  ’ટાઇમ્સ ઑફ ઇન્ડીયા’ તો રોજ, અને ક્યારેક ’લંડન ટાઇમ્સ’ પણ મને અમારા ઘરમાં જોવાની ટેવ પડી.  અચાનક હું ખાબોચિયામાંથી મોટા સરોવરમાં આવી ગયો હતો.  એ દિવસોમામ દાદા ગુજરાતના અને ભારતના ઍટલાસ માટે નકશા તૈયાર કરવામાં વ્યસ્ત હતા.  એ જ સમયમાં ચીને ભારત પર આક્રમણ કર્યું અને અમદાવાદમાં અનેક જગ્યાએ એ ઘટના અંગે દાદાએ દીર્ઘ વ્યાખ્યાન આપ્યા.  ૧૯૬૩માં દાદા નિવૃત્ત થયા એ સમયે ઝીણાભાઇએ, ત્યારના ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય મહેતાએ દાદા વિષે, તેમ જ દાદાએ પોતે શિક્ષકની નિષ્ઠા વિષે આપેલાં વક્તવ્ય અતિશય મનનીય હતાં.  પછીના પાંચ વર્ષ હું દાદાના સાંનિધ્યમાં રહ્યો એને કારણે મારા ચારિત્ર્યને એક વધુ ઉજળો વળાંક મળ્યો.

    જૂન મહિનાની શરૂઆતમાં અમારું એસ.એસ.સી.નું પરિણામ જાહેર થયું અને હું સરસ માર્ક્સ સાથે પાસ થયો.  વડીલોની સલાહ પ્રમાણે મારે આગળ સાયન્સ અને પછી ઍન્જિનીઅરીંગ કૉલેજમાં ભણવું એમ નક્કી થયું, અને હું એમ. જી. સાયન્સ ઇન્સ્ટીટ્યુટમાં દાખલ થયો.  મારે સાયન્સ વિદ્યાશાખામાં ભણવું અને ઍન્જિનીઅર બનવું; કે ’આર્ટ્સ’ કૉલેજમાં જઈ અંગ્રેજી-સાહિત્ય, અર્થશાસ્ત્ર, કે તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવો? એ ખરેખર તો મારા ભવિષ્યનો માર્ગ નક્કી કરવાની વાત હતી.  પણ વક્રોક્તિ એ હતી કે આવો અગત્યનો નિર્ણય લેવા માટે મારી પાસે બહુ જૂજવી માહિતી હતી  મને લાગે છે એ દિવસોમાં આમ જ થતું હતું.  જેનાં ભવિષ્યનો સવાલ હોય – પછી એ અભ્યાસ અને કારકીર્દી પસંદ કરવાની વાત હોય કે લગ્નસાથીની પસંદગી કરવાની હોય – એ વ્યક્તિને ભાગ્યે જ નિશ્ચિત મત હતો.  આપણી સમાજવ્યવસ્થા એવી હતી કે કિશોરવયમાં વ્યક્તિ પોતા વિષે કોઇ મહત્વનો નિર્ણય લઈ શકે એવી તાલીમ એને ભાગ્યે જ મળતી.  એવો નિર્ણય કોઇ લે અને એ ખોટો નીવડે તો એને બદલી કે સુધારી શકાય એવી સવલત પણ ન હતી.  આવા સંદર્ભમાં વ્યક્તિસ્વાતંત્ર્ય એટલે શું એ અમેરિકા આવ્યો પછી જ મને સમજાયું.  ખેર, હું સાયન્સ કૉલેજમાં દાખલ થયો.  પહેલે જ દિવસે હું જે બેન્ચ પર બેઠો હતો ત્યાં જ મારી બાજુમાં એક ગોરો, રૂપાળો, અને નિખાલસ સ્મિત ધરાવતો યુવાન આવીને બેઠો.  અમે એકબીજાનાં નામ પૂછ્યાં અને તે દિવસે મારી ’ભરત કામદાર’ સાથે ઓળખાણ થઈ.  આજે એ વાતને ૬૦ ઉપર વર્ષ વીતી ગયાં છે અને અમે બંને ’દાદા’ બન્યા છીએ.  તે દિવસથી આજ સુધી ભરત ઉર્ફે ’નાનુ’ મારો જીગરજાન મિત્ર રહ્યો છે.  સાયન્સ કૉલેજમાં પણ મારો અભ્યાસ સરળતાથી અને સફળતા સાથે થયો, પરિણામે બે વર્ષ પછી મને અમદાવાદની (ત્યારે) એકમાત્ર એન્જિનીઅરીંગ કૉલેજમાં, મારી પસંદગીના ’મિકૅનિકલ’ વિભાગમાં સહેલાઈથી પ્રવેશ મળ્યો.  ખાસ વાત એટલે આ વખતે એ મારી પસંદગી હતી.  કિશોરવય વટાવી હવે હું યુવાન થયો હતો.

    એન્જિનીઅરીંગ કૉલેજના ત્રણ વર્ષ પણ સરસ પસાર થયા.  બીજા વર્ષની અમારી પરીક્ષાનું પરિણામ ખૂબ કડક આવ્યું અને માત્ર ૧૧% વિદ્યાર્થીઓ જ પાસ થયા.  એ ૧૧%માં હું પણ હતો એ મારે મન આનંદ અને અભિમાનની વાત હતી.  નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ હડતાળ પાડી.  આખરે સત્તાધારીઓએ પરિણામ બદલી વધુ વિદ્યાર્થીઓને ’પાસ’ જાહેર કર્યા અને અમારું નવું સત્ર શરૂ થયું!  પણ હવે અમે બધા જ પુખ્ત થયા હતા અને અમારા મિત્ર વર્તુળમાં ’આ હડતાળ યોગ્ય હતી કે અયોગ્ય?’ એ પ્રશ્ન પર ઘણી ચર્ચા થયેલી.  મહત્ત્વના પ્રશ્નનો સર્વાંગી વિચાર કરવા અમે હવે તૈયાર થયા હતા.  એ સમય દરમિયાન શિશિરભાઈ અને ઇલાભાભીએ પ્રેમલગ્ન કરવાનો નિર્ણય જાહેર કર્યો.  એ આંતરજાતીય લગ્ન હતું અને અમારા ઘરમાં એની ચર્ચા થઈ.  એ વિષે મેં જ્યારે આઈને પૂછ્યું કે એમનો શું મત છે?  ત્યારે એક સરળ સ્વભાવની પ્રેમાળ માતા જ આપી શકે એવો એમનો જવાબ હતો, “મારો શિશિર સુખી તો હું સુખી.”  ખૂબ ધામધૂમથી એ લગ્ન ઉજવવામાં આવ્યાં.  એ જ વર્ષે ભરતભાઈ ’ગ્રેજ્યુએટ’ થયા અને બૅંકમાં કામે લાગ્યા.  બીજી બાજુ એ દિવસોમાં જ ભાઉને ’માઈલ્ડ હાર્ટ ઍટૅક’ આવી ગયો, પણ એમાંથી તેઓ ઝટ સાજા થયા અને અગાઉના જ મનોબળ સાથે પાછું પોતાનું અનુવાદનું કામ કરવા માંડ્યા.  આ બધા સાથે ૧૯૬૫ના જુન મહિનામાં હું બી.ઈ. મિકૅનિકલ થયો.  જિંદગીનો એક અગત્યનો તબક્કો મેં ગાંઠ્યો હતો.  પોતાના પગપર ઊભો રહેવા હવે હું સજ્જ થયો હતો અને તત્પર હતો.

    જીવનમાં મિત્રોની બાબતમાં હું ખૂબ નસીબદાર રહ્યો છું.  દરેક તબક્કે મને હોંશિયાર, પ્રામાણિક અને હિતેચ્છુ મિત્રો સતત મળતા રહ્યા છે.  અમે ત્રણે શાળામાં હતા ત્યારથી જ રીટા અને દેવરાજ મારા ઘનિષ્ટ મિત્ર થયા હતા. ઍન્જિનીઅરીંગના અભ્યાસ દરમિયાન મને ભરત કામદારમાં એવો જ આજન્મ-મિત્ર મળ્યો.  એની અને પંકજ કોઠારીની મૈત્રી થઈ એ મારા જીવનની મોટી મૂડી છે.

    ૧૯૬૦ના દાયકામાં પોતાની પસંદગીના ક્ષેત્રમાં સારા માર્ક્સ સાથે સ્નાતકની ડીગ્રી મેળવનારા યુવાનો અને યુવતીઓ જો આર્થિક રીતે પરવડતું હોય તો વધુ અભ્યાસ અને પ્રગતિ માટે અમેરિકા જતાં.  મારી બાબતમાં દાદા કે ભાઉના પૈસા ન વાપરતાં એમ કરવું લગભગ અશક્ય હતું, અને એમની પાસે પૈસા માગવાની મારી ઇચ્છા ન હતી.  એટલે ઍન્જિનીઅર થયા પછી તરત ભારતમાં જ કામે લાગવું એમ મેં ઠરાવ્યું; અને સાથે એમ પણ ઠરાવ્યું કે અમદાવાદમાં દાદાની ઘણી ઓળખાણ હોવા છતાં બને ત્યાં સુધી નોકરી મારા પોતાના પ્રયત્ન વડે જ મેળવવી અને હવે ઘરમાંથી બહાર નીકળી સ્વતંત્ર જીવન શરૂ કરવું.  હું સંતોષપૂર્વક કહી શકુ છું કે એ પછી મેં જે જે નોકરી મેળવી એ બધી મારા પ્રયત્નોથી જ મેળવી.

    ૧૯૬૫માં બી.ઈ. થયો ને મેં વડોદરામાં એક સ્ટીલ રોલિંગ મિલમાં પહેલી નોકરી મેળવી.  એ કંપનીના માલિક સરદારજી હતા એટલે ત્યાં કામ કરનારા મોટાભાગના માણસો પણ સરદારજી હતા.  ત્યાં એક ગુરુદ્વારા હતું જ્યાં રોજ સવારે ’કડા પ્રશાદ’ એટલે ભરપુર ઘીમાં બનાવેલો શીરો મળતો.  દિવસ શરૂ કરવાની આ પ્રથા મને બહુ ગમી!  જ્યાં ૩૦૦ માણસો કામ કરતા હતા એ મિલમાં એકમાત્ર હું જ ’ભણેલો’ ઍન્જિનીઅર હતો.  ત્યાં મને ૧) અન્યની મદદ સિવાય મહત્વની ટૅકનિકલ બાબતોના નિર્ણય કેમ લેવા તે: ૨) સરદાર કોમની શિસ્ત અને મહેનતુપણું; તથા ૩) શીખ ધર્મની થોડી માહિતી; એમ ત્રણ નવી વાતો શીખવા મળી.  વડોદરામાં મને એક વધુ ’અચ્છો’ મિત્ર જનાર્દન ઉર્ફે જે. સી. શુક્લ મળ્યો   એની પાસેથી મને ઘણું બધું મળ્યા જ કર્યું છે.  એ ચાર વર્ષ દરમિયાન ’યંગસ્ટર્સ કૉર્નર’ નામની, મારા જેવા તરુણોની એક સંસ્થાનો હું સક્રિય સભ્ય હતો.  એ સમયમાં શ્રી ભોગીલાલ ગાંધી નામના એક પ્રેમાળ અને માત્ર વયોવૃદ્ધ જ નહીં પણ સાચા અર્થમાં જ્ઞાનવૃદ્ધ વડીલ સાથે મારે ઓળખાણ થઈ.  એમની પાસેથી ’સમાજવાદ’ તથા ’સામ્યવાદ’ વિચારધારાના મૂળ સિદ્ધાંત તથા સામ્યવાદનાં ભયસ્થાન વિષે હું ઠીક-ઠીક માહિતગાર થયો.  વડોદરાના એ ચાર વર્ષ ખૂબ સરસ પસાર થયા.  પણ પછી મને ખ્યાલ આવ્યો કે સરદારજીની રોલિંગ મીલમાં મારા માટે વધુ પ્રગતિની શક્યતા ન હતી.

    વડોદરા છોડી હું દૂર દુર્ગાપુર, ’વેસ્ટ બેંગાલ’માં એક ખૂબ મોટા સ્ટીલ પ્લાંટમાં જોડાયો.  કાચી ધાતુ (ખનિજ) શુદ્ધ કરી એમાંથી લોખંડ (પોલાદ) અને પછી એમાંથી માણસને ઉપયોગી વસ્તુઓ બનાવવાની એ એક અતિવિશાળ ફૅક્ટરી હતી.  ત્યાં ૩૦,૦૦૦ માણસો કામ કરતા હતા અને એમાં મારાથી ખૂબ વધારે ભણેલા અને અતિશય હોશિયાર અસંખ્ય ઍન્જિનીઅર હતા.  સ્ટીલ ટૅક્નોલોજીનું એ ’મક્કા’ હતું.  એ ક્ષેત્રનું જ્ઞાન મેળવવા માટે એ અમૂલ્ય તક હતી અને મેં ઉત્સાહથી એનો પૂરો લાભ લીધો.  ખૂબ ગરમ કરવાથી લોખંડ પણ પીગળીને પ્રવાહી બને છે એ ત્યાં મેં પહેલીવાર જોયું.  ત્યાંના મારા ઉપરી અમિતવ દાસગુપ્તા એક અદ્‍ભૂત માણસ હતા.  માત્ર કામ અંગેની જ વાતો નહીં પણ એમના પાસેથી જે ’માણસાઈ’ના પાઠ હું શીખ્યો એ બદ્દલ આજે પણ મને તેઓ યાદ છે.  માણસ જિંદગીમાં ક્યાં-ક્યાંથી કેટલું બધું શીખતો હોય છે!  દુર્ગાપુરમાં રહેવાના મને ઘણાં લાભ મળ્યા.  દૂધ ફાડીને બનાવેલી બંગાળી મીઠાઈની મજા ચાખવા મળી.  હું બંગાળી ભાષા બોલતાં અને લખતાં શીખ્યો, બંગાળી છાપાં વાંચતો અને બંગાળી ફિલ્મ જોતો થયો.  ત્યારે જોયેલી સત્યજીત રેની ’પ્રોતિદોંદી’ અને ’ચારુલતા’ ફિલ્મ મને આજે પણ યાદ છે.  મૃણાલ સેન અને બાસુ ભટ્ટાચાર્ય જેવા નામાંકિત દિગ્દર્શકોએ સર્જેલી ફિલ્મ પણ એ દિવસોમાં જ જોઇ.  એકવાર અમે મિત્રો ટેક્સી કરી શાંતિનિકેતનની એક દિવસની મુલાકાતે પણ જઈ આવ્યા.  જો કે તીર્થક્ષેત્ર કહી શકાય એવી જગ્યાની માત્ર એક દિવસની મુલાકાત તો શું ન્યાય આપી શકે?  પણ દુર્ગાપુર નિવાસ દરમિયાન બંગાળી સંસ્કૃતિનો ભલે ટૂંકો, પણ પરિચય કરી લેવાની તક મળી એનો આનંદ છે.

    આ વર્ષોમાં અમારા કુટુંબમાં ત્રણ-ચાર વાત બની.  ભરતભાઈ અને નીલાભાભીનાં, તથા શોભાબેન અને શશિકાન્તનાં સમયાનુસાર લગ્ન થયાં; અને શિશિરભાઈ તથા ભાભી બે વર્ષના મૌલિનને લઈ ૧૯૬૮માં કાયમ માટે અમેરિકા ગયાં.

    દુર્ગાપુરમાં હતો ત્યારે જ મારા જીવનમાં એક નવું સુંદર, સુખકારી પ્રકરણ શરૂ થવાનું હતું.


    ક્રમશઃ

     

  • ઇશ્વરના ઇ મેઇલ – ૨૧

    એકલો જાને રે..

    નીલમ  હરીશ દોશી

    ગમતું તુ બેસવું, પણ લાગ્યું વસમું, કીધું મેં નાથ, હવે જાઉં ?
    કાં ? એક બાજુમાં સુવાવડી વહુને સમજાવી રાબ જરા પાંઉ
    ને સામી શેરીની મંદિરની ટેકવાળી આંધળી ડોશીને દોરું..

    મુકુન્દરાય પારાશર્ય


    પ્રિય દોસ્ત,

    મને તારી એક વાત જરા પણ નથી ગમતી.તને ઘણી વાર સારી વાત, સારું કામ કરવાની ઇચ્છા જાગે છે. પણ થોડી વારમાં તું જાતે જ બહાનું શોધી કાઢે છે કે મારા એકલાથી શું વળવાનું ? હું એકલો એમાં  શું ફરક કરી શકવાનો ?  આવી કોઇ દલીલ જાત સાથે કરીને છટકબારી શોધી લે છે. અને પછી નિષ્ક્રિય બનીને બેસી જાય છે.દોસ્ત, તારી આ વાત સાથે હું જરા પણ સંમત નથી.

    દોસ્ત, જરા શાંતિથી વિચાર.  તારી જેમ દરેક વ્યક્તિ આવી દલીલ કરીને નિષ્ક્રિય બનીને બેસી રહે તો ? એક એક વ્યક્તિ મળીને જ સમાજનું નિર્માણ થાય છે ને ? દરેક વ્યક્તિ પોતાનું આંગણું સાફ કરી નાખે તો આખી શેરી આપોઆપ સાફ થઇ જાય ને ? દોસ્ત, અન્ય કોઇ શું કરે છે એની ચિંતા કર્યા સિવાય એટલીસ્ટ તું તારી જાતને તો પ્રામાણિક્તાથી સુધારી શકે ને ?

    હું એકલો શુ  કરી શકું એ બધી વાંઝણી વાતો છે. મનને છેતરવાની છટકબારીઓ છે.

    ધૂળમાં આળોટીને એક ચપટી ધૂળ રામના સેતુબંધમાં ઠાલવતી ખિસકોલીની વાત તું કેવી ભાવથી કહેતો કે વાંચતો ફરે છે ?  કે પછી જટાયુની વાતથી પણ તું કયાં અજાણ છે ? રાવણની શક્તિથી તે અજાણ નહોતો જ. પોતે હારવાનો જ હતો એની પણ તેને જાણ હતી. પરંતુ પોતાના દેખતા કોઇ સીતાજીને લઇ જાય એ તેને સ્વીકાર્ય નહોતું. અધર્મ સામે લડવું એ તેનો ધર્મ હતો, તેનું કર્તવ્ય હતું.પરિણામની પરવા કરવા તે નહોતો રોકાયો. દોસ્ત, સમજાય છે તને મારી વાત ? મારા એકલાથી કંઇ ન થઇ શકે.આવું વિચારીને તારા કર્તવ્યમાંથી છટકી ન શકાય.દોસ્ત્, તને, મારા પરમ  સર્જનને  એ ન શોભે.

    તું તારા  રોજિંદા જીવનમાં શકય તેટલી શુચિતા, પ્રામાણિકતા, કર્તવ્ય નિષ્ઠા લાવી શકે .રોક એકાદ નાનકડું પણ સારું કાર્ય તારે હાથે થાય એ જ મારો રાજીપો, એ  જ મારી ઇચ્છા, એ જ મારી પૂજા. રોજ એકાદ વ્યક્તિને નિસ્વાર્થભાવે કોઇ નાનકડી મદદ તું ન કરી શકે ? કોઇ એકાદ અ ચહેરા પર તું નાનકડું સ્મિત ન લાવી શકે..? તારી પાસે મારી આટલી  અપેક્ષા કંઇ વધારે પડતી કહેવાય ?

    દોસ્ત, મારી આટલી આશા પણ પૂરી નહીં થાય ?  મારી મૈત્રી માટે તું આટલું પણ ન કરી શકે ?

    લિ. તારો મિત્ર ઇશ્વર..

    પ્રાર્થના એટલે ઇશ્વર સાથે વાર્તાલાપ કરવાનો વાયરલેસ વ્યવહાર

    જીવનનો હકાર.

    ગ્રન્થિથી મુકત કરે તે સાચો ગ્રન્થ.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન

    નિસબત

    ચંદુ મહેરિયા

    પત્રકારત્વના વિદ્યાર્થીઓને સમાચારની વ્યાખ્યા સમજાવતા એવું કહેવામાં આવે છે કે કૂતરું માણસને કરડે તે સમાચાર નથી પરંતુ માણસ કૂતરાને કરડે તે સમાચાર છે. જોકે આજકાલ તો કૂતરાં માણસને કરડે છે તે સમાચારો અખબારોસહિતના માધ્યમોમાં છવાયેલા છે. માણસને કૂતરાં કરડે છે તે એટલી મોટી સમસ્યા અને સમાચાર છે કે તેની સુનાવણી દેશની સર્વોચ્ચ અદાલતમાં થઈ રહી છે! સુપ્રીમ કોર્ટની જે બેન્ચ આ બાબતની સુનાવણી કરી રહી છે તેના એક સભ્ય જસ્ટિસ વિક્રમનાથનું કહેવું છે કે વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે મને જેટલી પ્રસિધ્ધિ નથી મળી એટલી આ કૂતરાની સુનાવણીના જજ તરીકે મળી છે! એટલે માણસ કૂતરાને કરડે તે જ સમાચાર અસામાન્ય નથી પણ કૂતરું માણસને કરડે અને તે અંગે સુપ્રીમ કોર્ટના જજો સુનાવણી કરે તે પણ અસામાન્ય સમાચાર છે.

    ડીજેના ઘોંઘાટથી આપણે સૌ ત્રાહિમામ છીએ પરંતુ તેને અટકાવવા કે તેના વિરોધમાં ભાગ્યે જ કશુંક કરીએ છીએ. આપણે ડીજેના હેવાયા થઈ ગયા છીએ પણ જાનવરોનું એવું નથી. ૨૦૨૫ની અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં ડીજેના અવાજોથી રથયાત્રામાં સામેલ હાથીઓ એટલા ડિસ્ટર્બ થઈ ગયા હતા કે તે ભીડમાં જ રુમલાયા હતા પરિણામે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.ઝાલોદ રોડ પર છૂટ્ટા ચરતા ૫૫ જેટલા ગધેડા નજીકની રેલીના ડીજે પરના ધમાકેદાર સંગીતથી ભડકીને ભાગ્યા હતા. બે મહિના સુધી શોધખોળ કરી પણ ગધેડા મળ્યા નહીં એટલે દાહોદ પોલીસમાં ફરિયાદ થઈ હતી.

    ઘણા ડિગ્રી વગરના નકલી ડોકટરના દવાખાના ડોકટરોની અછતના લીધે ધમધોકાર ચાલે છે. સરકાર ક્યારેક તપાસ કરે છે અને નકલી ડોકટરોને પકડે છે. જામનગર તાલુકાના દરેડ ગામે પકડાયેલા બોગસ મહિલા તબીબનું નામ  બોઘીબહેન હતું. નામ ભલે બોઘી હતું પણ તેમનું કામ અક્કલવાળું હતું નહીં? અમેરિકાની ઓનલાઈન ફિટનેસ બેન્ક ગ્રાહકોને તેમની બચત અને રોકાણ પર તે રોજ કેટલાં ડગલાં ચાલે છે અને કઈ ફિટનેસ પ્રવૃતિઓ કરે છે તેના આધારે વ્યાજ આપે છે. રસ્તા વચ્ચે બેસતી ગાયોથી આપણે પરેશાન છીએ. ગાયોના શરીર પર માખી કે બીજા જીવજંતુ બેસે છે તે વાહનોની અવરજવરથી લાગતા પવનથી ઉડી જાય છે એટલે તે રસ્તા વચ્ચે બેસે છે. હવે જાપાનના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જો ગાયોના શરીર પર ઝેબ્રા જેવા પટ્ટા રંગવામાં આવે તો તેને કારણે ગાયોને માખીઓના ત્રાસમાંથી મુક્તિ મળશે અને રાહદારીઓ તથા વાહનચાલકોને રાહત થશે.

    રાજધાની દિલ્હીનું એક દંપતી નવી કાર ખરીદવા શોરૂમ પર ગયુ. તેમણે મહિન્દ્રા થાર ખરીદી  હતી. કારની ચાવી દંપતીને સોંપવામાં આવી પછી તેમણે નવી કારની પૂજા કરી અંતે કારનું પૈડું લીંબુ નીચે ચઢાવવાની વિધિ માટે તેમણે એક્સિલેટર દબાવ્યું અને કાર શોરૂમના કાચ તોડી પહેલા માળેથી પાંચ ફૂટ નીચે પટકાઈ હતી. તેમાં નવી કારના મહિલા માલિક અને શોરૂમના કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા.

    લગ્નોના સમાચારો એટલા તો મસાલેદાર હોય છે કે તેમાં કશું સામાન્ય હોતું જ નથી. ઉત્તરપ્રદેશના એક ગામમાં લગ્નની પહેલી રાત્રે જ વરરાજા ગુમ થઈ ગયા હતા. સુહાગરાતે સુહાગ ગાયબ થઈ જવાથી ધમાચકડી મચી ગઈ. ત્રણ દિવસ બાદ તેમનો હરિદ્વારથી પત્તો મળ્યો. વરરાજાનું કહેવું હતું કે તેઓ સુહાગરાતે બહુ બેચેની અનુભવતા હતા એટલે ગુમ થઈ ગયા હતા. કેવા મજાના સમાચાર છે નહીં? લગ્નની તારીખ નક્કી હતી અને બે દિવસ પહેલાં વરરાજાનો પગ તૂટ્યો, પગે પ્લાસ્ટર આવ્યું. પગમાં પ્લાસ્ટર સાથે વરરાજા હોસ્પિટલના બેડ પર સૂતા હતા અને કન્યાએ સાત ફેરા લીધા. હોસ્પિટલનો વોર્ડ ઘડીવાર માટે તો લગ્ન સ્થળ બની ગયો હતો.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    એક પુત્રના બાપે  ત્રણ વરસના લગ્ન જીવન પછી ટ્રાન્સજેન્ડર બનવા છૂટાછેડા માંગ્યાની વિચિત્ર ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બની હતી. કર્ણાટકના બેંગલુરુના બિરાદર કેડી છૂટાછેડાથી  એટલા તો ખુશ થયા કે તેમણે દૂધથી સ્નાન કર્યું હતું. ઉપરાંત હેપી ડિવોર્સ લખેલી કેક કાપી હતી. યુપીના બરેલીની ફેમિલી કોર્ટના જજસાહેબે ડિવોર્સના કેસની સુનાવણીમાં જે મહિલાને સાસુસસરા ગમતા નથી અને એકલો પતિ કે વિભક્ત કુટુંબ ગમે છે તેમણે તેમના બાયોડેટામાં જ સાસુસસરા કે સંયુક્ત કુટુંબ વગરનું ઘર જોઈએ છે તેમ લખવાની સલાહ આપી હતી. છત્તીસગઢની આદિવાસી પરંપરા મુજબ જો આદિવાસી કન્યા બિનઅદિવાસીને પરણે તો જમાઈએ બકરાં-મરઘાં ભાત ખવડાવવો પડે. એક જમાઈએ તેનું પાલન ન કરતા ૫૦૦ આદિવાસીઓ તેમના ઘરે ધામા નાંખીને બેસી ગયા હતા.

    કેરળના સબરીમાલા મંદિરના ગોલ્ડ કૌભાંડનું એક પાસું એ પણ છે કે મંદિરના ગર્ભગૃહને સોનાથી મઢવા દાન કરનારા દાતાશ્રી કોઈ કાયમી આવક જ ધરાવતા નથી! સોમનાથ મંદિરના પૂજારીને દૈનિક પૂજામાં બેદરકારી બદલ ૧૯૯૧માં સસ્પેન્ડ કરવામાં  આવ્યા હતા.. આ બાબત કોર્ટકચેરી થઈ અને ૨૪ વરસ તપાસ ચાલી અંતે લેબર કોર્ટ અને હાઈકોર્ટે પૂરતા પુરાવાના ભાવે પૂજારીનું સસ્પેન્શનની રદ કર્યું તથા  આઠ લાખ વળતર અપાવ્યું હતું.

    મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની એક મહિલાને  રોજના સાઠ- સિત્તેર રોટલા ઝાપટી જવાની બીમારી  છે. બ્રિટનના યોર્કશાયરની કિશોરી સોળ વરસે સાઠ વરસની દાદી જેવી લાગવાની દુર્લભ બીમારીનો ભોગ બનેલી છે. પુડુચેરીની અન્ડર -૧૯ ટીમમાં સમાવેશ ન થવાથી ગુસ્સે થયેલા ખેલાડીઓએ તેમના કોચ પર શરીરે બે ડઝન ટાંકા આવે અને ખભો તૂટી જાય તેવો હુમલો કર્યો હતો.એક ગુરુને  અનેક શિષ્યો હોય એવું તો સાંભળ્યું છે પરંતુ અનેક ગુરુઓ ચેલાઓની પ્રતીક્ષામાં પગાર મેળવતા હોવાનું સાંભળ્યું છે કદી?  ભારતની લોકસભામાં લેખિત જવાબમાં કહેવાયું છે કે દેશમાં ૫૧૪૯ શાળાઓમાં  એક પણ વિધ્યાર્થી નથી પરંતુ ૧.૪૪ લાખ શિક્ષકો આ શાળાઓમાં ફરજ બજાવે છે.

    ઓસ્ટ્રેલિયામાં વિદેશી મુસાફરોને વિમાનમાં ફૂલો અને પાંદડા લાવવા માટે પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. કેરળના અભિનેત્રી નવ્યા નાયર ૧૫ સેમીનો ચમેલીનો ગજરો લઈને પ્રવાસ કરતાં તેમને નિયમ ભંગ બદલ રૂ. ૧.૧૪ લાખનો દંડ થયો હતો.

    જગત જમાદાર એવા મેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિના નોબેલ માટે પોતાને હકદાર માનતા હતા. ૨૦૨૫ના વરસમાં ૯૪ સંસ્થાઓ અને ૨૨૪ વ્યક્તિઓ શાંતિના નોબેલ માટે નામાંકિત હતા.પરંતુ તેમાં શ્રીમાન ટ્રમ્પનું નામ નહોતું.એટલે તેમણે બીજાનું નોબેલ પોતાને નામે ટ્રાન્સફર કરાવી લીધું. આમેય રાજકારણ અને રાજકારણીઓના સમાચારો માણસ કૂતરાને કરડે તેવા જ હોય છે. તેમાં ટ્રમ્પ મહાશય શિરમોર છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મહાશ્વેતાદેવી: વંચિતોની કલમ, શતાબ્દી નમન

    તવારીખની તેજછાયા

    અરણ્યનો અધિકાર                              અરણ્યેર અધિકાર

    પ્રકાશ ન. શાહ

    થોડાં અઠવાડિયાં પર જાણ્યું કે મહાશ્વેતાદેવી કૃત ‘અરણ્યનો અધિકાર’ ચાર દાયકાથીયે વધુ અંતરાલ પછી ગુજરાતમાં પુનઃ સુલભ થયું છે. આનું નામ જોગાનુજોગ: ‘અરણ્યનો અધિકાર’ના નાયક બિરસા મુંડાની સાર્ધ શતાબ્દીનો માહોલ છે. ૧૮૭૫ના નવેમ્બરમાં એ જન્મ્યા અને ૧૯૦૦ના જૂનમાં આખા ૨૫ વરસનું યશસ્વી આયુષ્ય વીતાવી એ વીરમૃત્યુને વર્યા: આદિવાસી ઓળખ અને અધિકારનો અલખ જગવીને. ૧૭૫૭, ૧૮૫૭, ૧૯૪૭ એવા મેગા નેરેટિવમાં અને મોટી દઈત સામસામી જમાવટોના ઇતિહાસલેખનમાં આપણે ઝારખંડના બિરસા કે ઓખા પંથકના માણેક આસપાસની વીરગાથાઓ વિસારે પાડીને ચાલીએ છીએ.

    જોકે હવે સદભાગ્યે કથિતપણે છેવાડાનાં પાત્રો અને એમની કારકિર્દી આપણી સામે આવી રહી છે. આ વાત શક્ય બની તેમાં ઇતિહાસના અભ્યાસીઓનો, ચાલુ રાજકારણથી ઊંચે ઊઠી શકતા જાહેર જીવનના જણનો આપણે પાડ માનવો જોઈએ અને મહાશ્વેતાદેવી જેવા સર્જકોનો પણ, જેમણે અપરિચિતોને ઓળખી બતાવ્યા… અને હવે, આરંભે કીધેલ જોગાનુજોગ બાબતે લગાર ફોડ પાડું? આ મહાશ્વેતાદેવીનું શતાબ્દી વર્ષ પણ છે (જાન્યુઆરી ૧૪, ૧૯૨૬ : જુલાઈ ૨૮, ૨૦૨૬).

    સર્જક મહાશ્વેતાદેવીની એક મોટી સેવા એમણે આપણને આદિવાસીઓથી માંડી કથિત ડીએનટી જાતિઓ સહિત અણપ્રીછ્યા તબકાને ઓળખતા ને ચાહતા કર્યા એ લેખાશે. મહાનગરોમાં ઘોલકાતી જિંદગી બસર કરતા ચાલવાસી હોય કે કોલસાની ખાણોમાં રવરવતા શ્રમજીવી, એમના જીવન પરિચય પોતાની પ્રતિબદ્ધ કલમચર્યાએ કરાવતા પિતા મનીષ ઘટક (હાજી, એ જ ઘરાણું, જે જમાતજુદેરા ફિલ્મકાર ઋત્વિક ઘટકનું પણ) અને પર્લ બર્કને બાંગલાવગાં કરતી માતા ધરિત્રીદેવીનું આ સંતાન- એટલે મુખ્ય પ્રવાહની બહાર જવાની ને હાંસિયાજીવી સમુદાયો સાથે કથિત મુખ્ય પ્રવાહને મુખોમુખ કરવાની એને ક્યાંથી નવાઈ હોય.

    બને કે મોટા ભાગના ગુજરાતને મહાશ્વેતાદેવીનો પ્રારંભિક પરિચય કદાચ ‘રુદાલી’ જેવી ફિલ્મથી થયો હોય. મારી પ્રારંભિક સાંભરણ જેમ એમના થકી બંધાયેલા મુંડા-માયાની છે તેમ ‘હજાર ચુરાશીર મા’ વિશે સુરેશ જોષીએ વન્સ અપોન અ ટાઇમ સાપ્તાહિક કોલમમાં આલેખવા માંડેલી પરિચયમાળાની છે. સુરેશભાઈની કોલમકારીના એ ગાળામાં જ આપણા બે, ‘રહેને કો ઘર નહીં: ઔર સારા જહાં હમારા’ જેવી જિંદગી બસર કરતા એમએલ મિત્રો અશ્વિન ને કર્દમ પાસેથી જાણવા મળેલું કે નિઃસ્પૃહા દેસાઈ એક હજાર ચોરાસીની માને ગુજરાતમાં અવતારી રહ્યાં છે.

    ફિલ્મ તો તે પછી મોડેથી આવી, જયા ભાદુરીના અભિનયમાં, પણ મહાશ્વેતાદેવીએ માંડેલી આ વાર્તા ૧૯૭૪માં, જોગાનુજોગ જેપી આંદોલનના અરસામાં, પ્રગટ થઈ હતી. જોગાનુજોગ કહું છું તે એટલા માટે કે એનું વસ્તુયે એક જુદે છેડેથી ચાલેલ પરિવર્તન આંદોલનનું હતું. નક્સલ ચળવળની પૃષ્ઠભૂ પર, એમાં સામેલ પુત્રને પગલે નિર્ભ્રાંત-મુક્ત-પ્રવૃત્ત થતી માતાની આ દાસ્તાન છે. નક્સલ પુત્ર માર્યો ગયો છે. એક અણઓળખી લાશ નંબર એક હજાર ચોરાસી રૂપે પડ્યો છે. દકિયાનુસી બાપ એને ઓળખવા બાબતે ચહીને આઘા રહેવું પસંદ કરે છે. પણ સુજાતા (મા) એમ પાછી પડતી નથી. ભદ્રવર્ગી ગિન્ની (ગૃહિણી) જાણે કે પિતૃસત્તાક, પુરુષપ્રધાન ને સામન્તી એવી સમાજ – અને – શાસનપ્રથાથી ઊંચે ઊઠે છે.

    સુજાતાનું પાત્ર વાંચતે વાંચતે ઊઘડતું આવતું હતું ત્યારે મને સાથોસાથ થઈ આવતું સ્મરણ મેક્સિમ ગોર્કીની ‘મધર’ (૧૯૦૬)નું અને ઇબ્સનની નોરા (‘ડોલ્સ હાઉસ’, ૧૮૭૯)નું હતું; અને હા, એમ તો, ઘરઆંગણે સત્યજીત રાયની ‘મહાનગર’ (૧૯૬૩)ની નાયિકા આરતી (માધવી મુખરજી)નુંયે. સત્યજીતની આરતી એક ભદ્રવર્ગી ગિન્ની છે, અને કુટુંબની આવકખોટ પૂરવા એ પહેલી વાર ઘરની બહાર કામે ચડે છે. મહિનો વીત્યે હાથમાં પગાર આવે છે, કડકડતી નોટોનો! એ પર્સમાં તો મૂકે છે, પણ હાય પેલી કડકડતી અનુભૂતિ… વારે વારે ‘ફેસિલિટી’માં જાય છે અને પેલી નોટોને હાથમાં લઈ પુનઃ પુનઃ રોમાંચ અનુભવે છે. એક અર્થમાં આ સ્મિત પણ મુક્તિનો સ્પંદ હતો. આવતી કાલે કદાચ એ ઇબ્સનની નોરા પેઠે બારણું ધડામ વાસી બહાર પણ નીકળી પડે.

    પણ મને ‘મધર’ કેમ આકર્ષે છે, કહું? નિરક્ષર છે, કોઈ આઇડિયોલોજીનો કે વ્યાપક સમાજઘટનાનો અમથો પણ અહેસાસ નથી, કામદાર પુત્રનું સભાન થવું, ચળવળમાં જોડાવું, અને મદદ કરવા છૂપી પત્રિકાનું વિતરણ કરવું એમ મા બેપ્ટાઈઝ થતી જાય છે અને આંદોલન યુનિવર્સિટીની સ્નાતક પણ… ઘરખૂણાની રોજિંદી જિંદગીને બદલે એક નવઉઘાડની કહાણી — બિરસાની સાથે કહીએ તો ઉલગુલન અને ક્રાંતિકારી પરિવર્તન! zમહાશ્વેતાદેવીની સુજાતા, બને કે, ગોર્કીની અમ્મા પેઠે ખીલવા કરે.

    લેનિન જેને ‘ઇન્ફન્ટાઈલ + એડવેન્ચરિઝમ’ તરીકે કદાચ ખપાવે એવી નક્સલ કુરબાની પિતાને ન સ્પર્શી પણ આ પ્રક્રિયા દરમિયાન માતાને સ્પર્શીયે જાય… નવજાતા સુજાતા, ક્યાં છો તું? સામાન્યપણે ડાબેરી રુઝાન સારુ જાણીતાં મહાશ્વેતાને ક્રાંતિનો જે વીંછી ડંખેલો એમાં સર્જક સહજ સહૃદયતાનેય કંઈક સ્થાન હતું. એટલે સ્તો નંદિગ્રામ ઘટના વખતે ડાબેરી સરકાર સામે પ્રતિકારમાં એ પહેલી હરોળના બૌદ્ધિક તરીકે બહાર આવી શક્યાં હતાં. શતાબ્દી વંદના સમેટતાં રૂડું સ્મરણ કે નારાયણ દેસાઈના નિમંત્ર્યાં એ સાહિત્ય પરિષદમાં અતિથિવિશેષ રૂપે સામેલ થયાં હતાં.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૪-૨-૨૦૨૬ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ : ભારતીય ચિત્રકારની નજરે ઈન્‍ગ્લેન્‍ડ

    બીરેન કોઠારી

    ૧૯૭૯ના જાન્યુઆરીથી સપ્ટેમ્બરનો, આશરે નવેક મહિનાનો લંડનનિવાસ ભૂપેનના ત્યાર પછીના જીવન માટે અતિ મહત્ત્વનો બની રહ્યો હતો. લંડનમાં રહીને તેમણે અંગ્રેજોના રોજિંદા જીવનને નજીકથી જાણ્યું. એ જીવન વિશેનાં ચિત્રો બનાવ્યાં અને એ ચિત્રો ત્યાં પ્રદર્શિત થયાં ત્યારે અંગ્રેજોને એ બાબતમાં રસ પડ્યો કે એક ભારતીય કલાકાર અંગ્રેજી જીવનને કઈ રીતે જુએ છે. આ શ્રેણીનું એક ચિત્ર Man in pub અગાઉ આપણે અહીં જોયું.

    આવું જ એક અન્ય જાણીતું બનેલું ચિત્ર હતું The weatherman/હવામાનવેત્તા. ‘ધ વેધરમેન’ ચિત્ર બનાવવા પાછળની કથા પણ રસપ્રદ છે. ભૂપેને નીરખ્યું કે અંગ્રેજો હવામાન બાબતે આખો દિવસ ચિંતિત હોય છે. એમની વાતચીતનો મુખ્ય વિષય હવામાનની આસપાસ જ હોય છે. એક ભારતીયને આ વાત રમૂજી લાગે એ સ્વાભાવિક છે, કેમ કે, ભારતમાં હવામાન વિશે ભાગ્યે જ વાત થતી હોય.

    Jack Scott

    જેક સ્કૉટ નામનો એક હવામાનવેત્તા ટી.વી. પર સતત દેખા દેતો અને હવામાન અંગેની માહિતી આપતો રહેતો. ભૂપેનને એ જોવાની મઝા આવતી. તેમના ચહેરાનો ઉપયોગ ભૂપેને આ ચિત્રમાં કર્યો. એક હવામાનવેત્તા પોતાની પત્નીને પ્રેમ કરવા માટે આગળ વધી રહ્યો છે, અને સ્પષ્ટ છે કે એ સ્ત્રી એને નન્નો ભણવાની છે. અંગ્રેજોના હવામાન અંગેના વળગણના પ્રતીકરૂપે ભૂપેને એના દીવાનખંડમાં હવામાનનો આલેખ અને વિશ્વનો નકશો ટીંગાડેલો બતાવ્યો.

    આ જ ચિત્રમાં છેક દૂર બે માનવાકૃતિઓ દેખાય છે, જે આ જ દંપતિ છે.

    Portrait of Joe and Mary Hope

    ચિત્રમાં અંગ્રેજોના ઘરનું આંતરિક સુશોભન, દીવાલો અને ફરસ પરના ગાલીચાની ડિઝાઈન સુદ્ધાં ચીતરેલી છે. આ ચિત્ર પ્રદર્શિત કરવાનું હતું ત્યારે ભૂપેને નિમંત્રિતોની યાદીમાં જેક સ્કૉટનું નામ ખાસ લખાવેલું. જેક સ્કૉટ આવ્યા પણ ખરા. તે પોતાનો ચહેરો ઓળખી ન શક્યા, પણ ચિત્ર જોઈને રાજી થઈ ગયેલા. તેમણે કહેલું કે એમના ઘરમાં એવા જ હવામાનના નક્શા છે. દુનિયાનો નક્શો શયનખંડમાં નથી, ફ્રીજ પાસે છે. એમણે કહ્યું કે ચિત્રમાં છે એવી બારી પણ એમના ઘરમાં છે.

    લંડનમાં બનાવેલું ભૂપેનનું વધુ એક ચિત્ર એટલે Butcher’s Shop in London/લંડનમાં કસાઈની દુકાન.

    Butcher’s shop in London

    બાથ એકેડેમી કે જ્યાં ભૂપેન ભણાવવા જતા ત્યાંના વડા જો હોપ અને એમનાં પત્ની મેરી હોપનું પોર્ટ્રેટ ભૂપેને બનાવેલું. એ પોર્ટ્રેટમાં પશ્ચાદભૂ લંડનની છે, પણ તેની શૈલી ભારતીય લઘુચિત્રોની છે.

    Portrait of Joe and Mary Hope

    લંડનમાં યોજાયેલા ભૂપેનના ચિત્રપ્રદર્શને ત્યાંના કળારસિકોમાં ભારતીય ચિત્રકળામાં રસ જાગ્રત કર્યો. આ પ્રદર્શનમાં ભૂપેને બનાવેલાં અન્ય ચિત્રો પણ મૂકવામાં આવ્યાં હતાં.


    (ચિત્રો નેટ પરથી)


    [ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી  સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સજનવા | રાધાની છાતી પર ઝૂકીને

    સજનવા

    મુકુલ ચોકસી

    શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
    આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા.

    હાથમાં પકડ્યો તમારો હાથ તો લાગ્યું સજનવા
    મન પ્રથમ વાર જ ઊઘાડી પોપચાં જાગ્યું સજનવા.

    હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા
    પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા.

    કોરા અંતરપટના કંઈ ઓછા નથી કામણ સજનવા
    આપણે નાહક ઉપર શાં કરવાં ચિતરામણ સજનવા.

    સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
    થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા.

    સાવ અલગ રીતે મુહબ્બતને છતી કરીએ સજનવા
    આપને મળવાની સઘળી તક જતી કરીએ સજનવા.

    હાથમાં દરિયાઓ રાખીને દઈશ દસ્તક સજનવા
    ના મળે ઉત્તર તો ચાલ્યો જઈશ નતમસ્તક સજનવા.

    ખાલી કૂવાના અને કોરી પરબનાં છે સજનવા
    આ બધાં સપનાં રાબેતા મુજબના છે સજનવા.

    ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
    આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા.


    રાધાની છાતી પર ઝૂકીને

    કિસન સોસા

    રાધાની છાતી પર ઝૂકીને, કોક વાર રોયા હશે ઘનશ્યામ,
    હિમાળા ઢાળેથી ઢળ્યું હશે, પછી શ્યામલી જમનાનું નામ.

    રાધાના સ્કંધ પર ઢાળીને શીશ, ક્હાન ટહુક્યા હશે એવું વેણ,
    ઓઢણીને દાંતમાં દાબીને, રાધાએ ઢાળી દીધા હશે નેણ.

    સૌરભના મધપૂડા બંધાયા હશે, પછી વૃંદાવને ફૂલ ફૂલમાં,
    કેસૂડાં પથપથ કોળ્યા હશે, હશે ગુલમોર ખીલ્યાં ગોકુળમાં.

    રાધાને કાંઠડે બેસીને, ક્હાનજી એ પીધાં હશે મીઠા વાધૂ,
    લીલાછમ ઘૂંટડા ન્યાળીને મોર મોર બોલ્યા હશે સાધુ, સાધુ.

    ક્હાનજીની છાતીએ ઘોળાયું હશે, પછી રાધાનું કેસરિયું નામ
    રાધાનાં રોમ રોમ ફૂટ્યાં હશે, હશે ઢોળાયું બ્રહ્માંડનું ગામ.

  • એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૫ મું. : તૈયારીની તક ગુમાવી

    પ્રકરણ ૪ થું – રણવાસમાં રક્તપાત થી આગળ

    ઝવેરચંદ મેઘાણી

    પરરાજ્યોની ડખલ દૂર થઇ. પછી તો પ્રજાને તૈયાર કરવાનો વખત હતો. પણ કેટલી કેટલી પ્રજાઓએ એવી તૈયારી કરવાની તકો ગુમાવી નાખી છે ! કોરીયાના રાજ્ય–તંત્રમાં સડો પેઠો. સારા આદમીને એમાં સ્થાન નહોતું. પરદેશીઓની મદદ વિના જ દેશની દુર્દશા મંડાણી.

    પ્રજાની આ દુર્દશા ઉપર દેશનો એક પ્રાણ ફિકર કરતો કરતો જાગતો હતો—એ જ્વાળામય દેશભક્ત જેઇસન. એના મનમાં ઉમેદ હતી કે સરકારમાં નોકરી મેળવીને માતૃભૂમિની સેવા કરીશ. પણ રાજવહીવટના એ પ્રાણહીન યંત્રમાં જેઇસને પોતાનું સ્થાન ક્યાંયે ન જોયું.

    એણે બહાર રહીને દેશની નજર સામે આદર્શ ધરવા મનસૂબો કર્યો. બે વર્તમાનપત્રો કાઢ્યાં, ને એક

    સ્વાતંત્ર્ય સભા.

    કાઢી. એક દીવાની જ્યોતમાંથી અનેક દીવા પ્રગટાવાય, તેમ ત્રણ મહિનામાં તો સ્વાતંત્ર્ય–સભાને ચોપડે દસ હજાર વીરોનાં નામ નોંધાયાં. કોરીયા સરકારની કાળી કિતાબને પાને

    પણ એ દસ હજાર નામ ચડી ચુક્યાં. પ્રજાનો આત્મા જાગે એ અધિકારીઓથી શી રીતે સાંખી શકાય ?

    સ્વાતંત્ર્ય સભા માત્ર ભાષણોજ નહોતી દેતી. માત્ર ચર્ચાઓજ નહોતી કરતી. એણે શું કર્યું ? જ્યારે કોરીયાની સરકારે પોતાના સૈન્યને તાલીમ દેવાનું રૂશીઆને સુપ્રત કર્યું, ત્યારે એ દસહજાર સભાસદો રાજમહેલને ઓટે ખડા થયા, અને રાજાને અરજ ગુજારી કે રૂશીઆના અમલદારોને નિકાલો, કરારનામું ફાડી નાખો, ત્યાર પછીજ આંહીંથી અમે હટવાના. રાજાનો બીજો ઈલાજ નહોતો. દસહજારની ભુજાઓમાં નવું બળ આવ્યું. રાજાની આગળ એણે નવા સુધારાનો ખરડા ધર્યો.

    ૧. પરદેશી ડખલગીરી છોડો.
    ૨. વિદેશીઓને હક્કો આપવામાં વિવેક રાખો.
    ૩. રાજ્યદ્વારી ગુન્હેગારોનો છડેચોક ઇન્સાફ કરો.
    ૪. રાજ્ય ખરચની બદીઓ દૂર કરો.
    ૫. લોક–પ્રતિનિધિ મંડળ સ્થાપો.

    રાજાજીને આ વાતો વસમી લાગી. એણે આજ્ઞા દીધી કે એ મંડળને જ વિખેરી નાખો.

    દસ હજારે શું કર્યું ? જાલીમની સામે એણે શસ્ત્રો ન ઉગામ્યાં. અહિંસાના સિદ્ધાંતને બરાબર સમજનાર આ પ્રજાએ એક કાંકરી પણ ન ફેંકી. પોલીસ થાણાંઓની અંદર જઈને હાથ ધર્યા કે “પહેરાવો બેડી.”

    દસ હજારને પૂરવાનાં જેલખાના ક્યાં ? શરમાતે મ્હોંયે પોલીસે ફક્ત સત્તર સરદારોને પકડ્યા. પાંચમા દિવસની પ્રભાતે તે બંદીખાનાં ખોલાયાં ને સુધારા મંજુર થયા.

    જેવા લોકો ઘેર પહોંચ્યા તેવી જ સુધારાની વાત જ ઉડી ગઈ. ઠગાયેલી પ્રજા રોષે ભરાણી. ઠેર ઠેર ટોળાં મળ્યાં. સીપાહીઓને હુકમ મળ્યો કે ગોળીઓ ચલાવો.

    એકે એક સોપાહીએ કમર પરથી પટા ખોલીને નીચે ફેંક્યા. ટોપી પરના બીલ્લા તોડી નાખ્યા. બંદુકો ભેાંય પર ધરીને બોલ્યા કે “માફ કરો, પ્રજાથી અમે નોખા નથી.”

    સરકાર સમજી ગઈ કે સીપાહીઓની અંદર હુજુ થોડી ઘણી અનુકપ્પા રહી ગઈ છે. પછી એણે કાઢ્યા સોલ્જરોને સંગીનની અણીએ સોલ્જરોએ તે દિવસે તો લોકોનું દળ વિખેર્યું. બીજી પ્રભાતે આવીને જુએ તો હજારોની સંખ્યામાં પ્રજા રાજમહેલની સન્મુખ ખડી થઈ હતી. ચૌદ દિવસ ને ચૌદ રાત્રીઓ એ હજારોએ ત્યાંને ત્યાં ગુજારી. કોરીયાની પ્રજા દુભાય ત્યારે આવું તાગું કરે. રાજાઓના લોખંડી હૃદય બીજી શી રીતે પલળે ?

    રાજાને નમવું પડ્યું. માગેલા સુધારા મંજુર થયા લોકોએ જય–ઘોષ કર્યો. પણ બહુ ઉતાવળ થઈ ગઈ. લોકોની અંદર અંદર જ ફાટફૂટ થઈ. સુધારાનો કાગળીયો ફરીવાર હવામાં ઉડ્યો. લોક નાયક સીંગમાન બંદીખાને પડ્યો. કારાવાસના જુલ્મોની કથા આપણાથી ક્યાં અજાણી છે ? એક રાત્રીએ સીંગમેનને સમાચાર મળ્યા કે “આવતી કાલે તારો પ્રાણ લેવાશે.” બંદીવાન આનંદમાં નાચવા મંડ્યો.

    પણ સરકારની એક ન્હાની સરખી ભૂલ થઈ ગઈ ! સીંગમાનને બદલે એની પડખેની ઓરડીવાળા બીજા કોઇ કેદીનો ઘાત કરવામાં આવ્યો. સીંગમાન બચી ગયો. છ વરસના કારાવાસ પછી ૧૯૦૪ માં એ છુટ્યો.

    રૂસ–જાપાનની લડાઈ જામી. કોરીયાનો કોળીયો કરી જવા આ બન્ને રાષ્ટ્રો રાહ જોતા બેઠેલા હતા. રૂશીઆનું પરિબળ કોરીઆ ઉપર વધ્યું. કોરીયાએ પણ રૂશીઆનો પક્ષ લીધો. જાપાને યુદ્ધ જાહેર કર્યું. કોરીયાને કિનારે ઉભેલાં રૂસ જહાજો ડુબાવ્યાં; કોરીઆ–નરેશનો મહેલ કબજે કર્યો, અને આખા દેશ ઉપર સૈન્ય છોડી મૂક્યું. આ રીતે એક સુંદર, સંસ્કૃતિશાળી, ને શાંતિમય રાષ્ટ્રની સ્વતંત્રતાનો અંત આવ્યો. જાપાનનો મનોરથ સફળ થયો.

    આખા જગતની ઉઘાડી આંખ સામે એકદમ તો એક દેશ બીજા દેશને શી રીતે મોંમાં મૂકી શકે ? જાપાન કોરીયાને કહે કે તમારી સ્વતંત્રતા અમારે મંજૂર છે. અમે તો તમને એ કાગળ ઉપર પણ લખી આપ્યું છે. એથી વધુ શું ખાત્રી માગો છો ? માત્ર તમારે એના બદલામાં અમારી સલાહ લેવાનું રાખવું, અને રૂશીઆના પંજામાંથી તમને બચાવી લેવા માટે અમે જે યુદ્ધ આરંભ્યું છે, તેમાં અમારાં સૈન્યો પસાર થવા દેવા તમારે જરૂર પૂરતી સગવડ આપવી. આ જહેમત અમે કેવળ તમારે ખાતર ઉઠાવી છે.

    કોરીયા–નરેશ કહે, “અફેશાન તમારો”

    પછી ધીરે ધીરે તમાશો શરૂ થયો. કોરીયાના પરદેશ ખાતાના મંત્રીઓ તરીકે જાપાનીઓ નીમાયા. ટપાલખાતું ને તારખાતું જાપાને કેબ્જે કર્યું. જાપાની લશ્કરીઓ નીમાયા. જાપાની અધિકારીની રજા સિવાય રાજદ્વારી સભા ન ભરાય. આની સામે અવાજ ઉઠાવનાર કોરીયાવાસીને માટે કારાગ્રહ અગર કાળું પાણી જાપાની મજુરોથી દેશ ઉભરાઇ ગયો. એ મજુરોને કોરીયાનો કાયદો લાગે નહિ, એટલે મજુરો ચોરી કરી શકે, કોરીયાવાસી પર ચાબુકો ચલાવી શકે, ને શોખ થઇ આવે તો ખૂન પણ કરી શકે.

    કોરીયન શહેરાનાં નામ પણ બદલીને જાપાની નામ રાખવામાં આવ્યાં ! લશ્કરી કાયદો ચાલ્યો; રેલ્વેની બન્ને બાજુની અપરંપાર જમીન પ્રજાની પાસેથી, ખરી કિમતના વીશમા ભાગની કિમતે ખંડી લેવામાં આવી. કારણ, લશ્કરી જરૂરીઆત !

    લશ્કરી જરૂરીઆતને બ્હાને ઝુંટી લીધેલી આ જમીન ઉપર જાપાની દુકાનો ચણાઈ, જાપાની કારખાનાં ને જાપાની પરાં ખડાં થયા.

    આવતા અંકેઃ પ્રકરણ ૬ ઠું.- દાનવને ચરણે રક્તની ભેટ. 


    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

     

  • સદાબહાર સૂર- શ્રી અવિનાશ વ્યાસ- માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઉગ્યો

    આલેખનઃ રાજુલ કૌશિક

    સવારે ઉઠીએ ત્યારે આપણે આંખ સામે કરસંપુટ રાખીને મનોમન પ્રાર્થના કરીએ છીએ…

    “કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી |
    કરમુલે તુ ગોવિંદ: પ્રભાતે કરદર્શનમ્.

    પણ, એ કરસંપુટને વળોટીને જ્યારે નજર સામે ફેલાયેલું અચરજ દેખાય ત્યારે એ સવાર કેટલી સુંદર બની જાય!

    બસ બરાબર આજે એવું જ થયું. આજની ઉઘડતી સવાર કલ્પનાની પરે કહી શકાય એવી હતી. આમ તો આ શિયાળાના દિવસોમાં સૂર્યનારાયણ પણ જરા મોડા જ ઊઠે. કદાચ એમને પણ આ આખી રાતની ટાઢી ચાદર ખસેડીને આપણી જેમ બહાર નીકળવાનું મન નહીં થતું હોય, પણ જ્યારે એમણે જરા અમસ્તું ડોકિયું કર્યું તો જાણે રાતુંચોળ કંકુ ખર્યું હોય એમ આખું ગગન ઝળહળ ઝળહળ…

    પૂર્વાકાશમાં તો જાણે બ્રહ્મે પાથરેલા ચંદરવાને ઉજાળવા કંકુ છાંટણા થયા કે જગતજનનીએ આ જગતને નવી પ્રભાતના પ્રારંભના એંધાણ આપતા અજવાસ પાથર્યા?

    એ જોઈને મનમાં મંદિર સર્જાયું, કાનમાં ઘંટારવ ગાજ્યો, દિલમાં દીવડો ઝળહળ્યો અને હૈયેથી હોઠ સુધી અવિનાશભાઈના શબ્દો સર્યા..

    ‘માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઉગ્યો..
    જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.’

    ‘માડી તારું કંકુ’ માત્ર એક ગરબો જ નથી, પણ એક ચિરસ્મરણી ભક્તિરચના છે એટલે આજે પણ પ્રભાતના સમયે જગતજનનીના ભાલેથી ખરેલાં કંકુથી લાલચટક બન્યું હોય એવું આકાશ જોઈને અવિનાશ વ્યાસ યાદ આવે.

    દરેક એક વ્યક્તિની એવી આભા હોય જેના વિશે વિચારીએ તો પણ એ આભા આપણા સુધી પ્રસર્યા વગર રહે જ નહીં. “માડી તારું કંકુ” જેવી આટલી હૃદયના તળ સુધી સ્પર્શતી રચનાની સાથે એના રચયિતા અવિનાશ વ્યાસના વ્યક્તિત્વની આભા મન પર ઉપસ્યા વગર રહે ખરી? ગીતકારના ભાવ કે ભક્તિ આપણા સુધી પહોંચ્યા વગર રહે ખરા? આજે પણ અનેક સ્વરકારો-ગાયકો તેમના સૂર-તાલ થકી ગુજરાતી સંગીતને આગળ લાવી રહ્યા છે, પણ જો એ દીવડાની જયોત વધુ તેજ, વધુ ઝગમગતી કોઈએ કરી હોય તો તે છે અવિનાશ વ્યાસ.

    સાંભળ્યું છે કે અવિનાશ વ્યાસ માતાજીના પરમ ભક્ત હતા.‌ એમણે રચેલા માતાજીના ગરબા પણ એમની પરમ ભક્તિને લઈને જ સ્ફૂર્યા હશે. આમ જોઈએ તો ગરબો એટલે કે ગર્ભદીપ એ આપણી સંસ્કૃતિનું મંગળ પ્રતીક છે. પરંપરાગત ગરબાને શાસ્ત્રીય સ્પર્શ આપવાનું અને કેટલાંક અર્વાચીન ગરબાનું સર્જન કરવાનું શ્રેય ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસને જાય છે. ગુજરાતી ગરબાને લોકપ્રિય બનાવવામાં એમનું પ્રદાન અનોખું છે. ગરબા વિશે અવિનાશ વ્યાસના વિચારો-ભાવના અત્યંત સ્પષ્ટ હતા.

    અવિનાશ વ્યાસ ગરબાને અનુલક્ષીને કહેતા કે ‘ગરબાને સ્વર સાથે સગપણ છે, ગરબાને કવિતા સાથે નાતો છે, ગરબાને તાલ સાથે તાલાવેલી છે.’ વળી સહેજ આગળ વધીને કહેતા કે ‘ગરબાને થોડું ઘણું નૃત્ય સાથેય અડપલું કરવા દઈએ, પણ ગરબાનું ‘વ્યક્તિત્વ’ કોઈ પણ સ્થળે કે કોઈ પણ સંજોગે ઘવાવું ન જોઈએ.’ આમ જોઈએ તો ગરબા ગાવાની-ગવડાવવાની-સાંભળવાની આ ભવ્ય પરંપરાને અવિનાશભાઈએ સાર્થક કરી છે. ગુજરાતીઓનો અવાજ અને અંદાજ, રણકાર-ઝણકાર, લય-તાલ બધું જ એ એમની રચનામાં પીરસતા.

    અવિનાશભાઈના ગરબા સંગ્રહ ‘વર્તુળ’ના આમુખમાં તેમણે લખ્યું છે કે ‘વર્તુળનો અર્થ માત્ર ગોળાકાર સુધી સીમિત નથી. તેનું પણ એક વ્યાકરણ છે. ગરબાની નૃત્યરચના વર્તુળ તો ખરી જ પણ એનાથી ય ઉપર ગરબાના શબ્દોનું, ગરબાનાં કાવ્યોનું, ગરબાના શણગાર તથા ગરબાનાં ગીત સંગીતનું, તાલનું, તાળીઓનું પણ એક વિશિષ્ટ વર્તુળ હોય છે.’

    કેટલાકને પ્રશ્ન થાય કે, ગરબામાં રાધા-કૃષ્ણ, મીરાં આવે? તો એનો જવાબ અવિનાશ વ્યાસ પાસે છે, જેમાં ગરબો કહે છે કે, આકાશને ખોળે હું જન્મ્યો, જગદંબાએ હાલરડું ગાયું, દૂધગંગાએ દૂધ પીવડાવ્યું અને સ્વર્ગના અધિકારી શ્રીકૃષ્ણએ મને રાસ રમતાં શીખવ્યું. આથી ગરબાનું સ્વરૂપ કોઈ પણ હોઈ શકે. ફક્ત એમાં ગરબાનો ઠેકો, લય અને તાલનું સંયોજન સુંદર રીતે થયું હોવું જોઈએ.

    ગરબાની સાથે ચાચરના ચોકનો તો જાણે સનાતન સંબંધ. પહેલાં ક્યાં આવા ડી.જે. કે ધાંધલિયા સંગીત હતા? ત્યારે તો ચાચરના ચોકમાં માતાજીની છબી ગોઠવાય, અખંડ દીવો પ્રગટાવાય અને આરતી સાથે ગરબાનો ઉપાડ થાય ને પછી તો રમઝટ જામે.

    અવિનાશભાઈએ પારંપારિક લોકધૂનમાં શાસ્ત્રીય સ્વરો ઉમેરી તથા મૂળ સંસ્કૃતિને અકબંધ રાખીને ખૂબ સુંદર ગરબા રચ્યાં.‌ એમણે લખેલા ગરબામાં ત્રણ ગરબા “માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો”, “હવે મંદિરનાં બારણાં ઉઘાડો” તેમજ “માડી તારા મંદિરીયે ઘંટારવ થાય” તો લોકપ્રિયતાની સીમા વટાવી ચૂક્યાં છે.

    સમગ્ર ગુજરાતીઓનું રાષ્ટ્રગીત જેમ ‘આંખનો અફીણી’ છે એમ કહેવાય છે કે નાગરોનું રાષ્ટ્રગીત ‘માડી તારું કંકુ ખર્યું’ ગીત છે.

    અવિનાશ વ્યાસનો દર વર્ષે અંબાજી દર્શને જવાનો નિયમ હતો. માતાજીની સન્મુખ ઊભા હોય, દર્શન કરતાં જાય, આંખમાંથી આંસુનો અભિષેક વહેતો જાય ને ગીતની રચના થતી જાય. મૂળે અવિનાશ વ્યાસ પ્રકૃતિથી અત્યંત સૌમ્ય અને સહૃદયી. અવિનાશ વ્યાસને ઓળખતી એમની સમવયસ્ક પેઢીની વ્યક્તિઓ જ્યારે અવિનાશ વ્યાસ વિશે વાત કરે ત્યારે એમની વાતોમાંથી એમનું એક ચિત્ર તૈયાર થાય. અવિનાશ વ્યાસને અત્યંત નજીકથી ઓળખતા પત્રકાર સ્વ.શશિકાંત નાણાવટી કહેતા કે “અવિનાશભાઈ સ્વભાવે અત્યંત મૃદુ અને ઋજુ હૃદયના હતા, કોઈ પણ વસ્તુ એમને સ્પર્શે એટલે એમની આંખમાં આંસુ આવી જતા.”

    મુંબઈ ભગિની સમાજના કર્તા કલ્લોલીનીબેન હજરતના મતે ‘અવિનાશભાઈ અત્યંત પ્રેમાળ અને લાગણીશીલ સ્વભાવના હતા. માતાજી પરની અપાર શ્રદ્ધાને લઈને જ્યારે એમની સન્મુખ માતાજીને જોતાં ત્યારે અત્યંત ભાવવિભોર બની જતા. આવી ભાવવિભોર મનોસ્થિતિમાંથી જે રચાય એને તો માતાજીના આશિષ જ હોય અને એ રચના ચિરંજીવ બની જાય. માટે જ આજે અને આવતા અનેક વર્ષો સુધી અવિનાશ વ્યાસ અને એમના આટલા ભાવવાહી ગીત, ગરબા સૌને પણ ભાવવિભોર બનાવતા જ રહેશે.

    રાસબિહારી દેસાઈ કહેતા, “તમે સંશોધન કરો, મારી ખાતરી છે કે, આપણી ભાષામાં ઉચ્ચકોટિના કે ગણનાપાત્ર કવિઓની રચના જેટલી-જેવી ગવાઈ છે, જેને ખરેખર કવિતા કહેવાય તેવી કૃતિઓ આપણે ત્યાં સ્વરબદ્ધ થઈ છે તેટલી બંગાળ-મહારાષ્ટ્રને બાદ કરતાં ભારતની અન્ય કોઈ ભાષામાં નથી થઈ.’

    લિખિત ગુજરાતી કવિતાઓની જેમ, સ્વરબદ્ધ ગુજરાતી રચનાઓ પણ પાંચ સદી કરતાં વધારે સમયથી આપણી સંગીત તૃષા જ નહીં આપણી પરંપરા અને સંસ્કૃતિના ઉપવનને પોષી રહી છે. પ્રથમ સ્વરકાર કોણ? જવાબ છે, નરસિંહ મહેતા. ત્યારબાદ પ્રેમાનંદ અને અન્ય આખ્યાનકારો, માણભટ્ટોએ એ પરંપરાને જીવાડી.

    ત્યારબાદ આવ્યું જૂની રંગભૂમિનું સંગીત અને આઝાદીની ચળવળની પ્રભાતફેરીઓ પરંતુ સંગીતના આ લોક ઢાળને આકાશવાણીએ ઘાટ આપ્યો, શ્રુતિ તથા સૌરાષ્ટ્ર્ની તેમજ શિવરંજની જેવી સંસ્થાઓએ તેનું પોત ઘડ્યું. સંખ્યામાં થોડા પરંતુ સર્જન-સમજમાં બહોળા કલાકારોએ જે કાવ્ય સંગીતની બારમાસી સરિતા વહાવી છે, એમનાં નામો ક્યારેય નહીં વિસરાય. ગુજરાતી કાવ્યસંગીતનું સંવર્ધન કરવામાં ત્રણ પેઢીનું પ્રદાન રહ્યું છે, તેમાં અવિનાશ વ્યાસનું નામ સદા વધારે ઊંચા સ્વરે જ લેવાશે. ગીત, ગઝલ, ગરબા, ભજન કોઈ પ્રકાર તેમણે બાકી રાખ્યો નથી. સંગીતચાહકો કહે છે તેમણે ગુજરાતને ગાતું કર્યું તે આજે પણ સાચું જ લાગે.

    અવિનાશ વ્યાસે ગુજરાતને સંગીત અને કવિતાની ‘લોકપ્રિય’ અને ‘લોકશ્રવણીય’ વિરાસત આપી. સ્વર-સ્વરાંકનમાં, કંઠ-કામણમાં, અવાજ-અંદાજમાં, અવસર અને અસરમાં પણ…

    રાખનાં રમકડાં’, ‘પાટણથી પટોળાં’,‘ઝૂકી પડ્યો ઊંચો હિમાલય’, ‘ઝમકેના ઝાંઝર’, ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ’ જેવી રચનાઓ આજે ૪૦ વર્ષના વહાણાં વાયા પછી પણ તાજી છે.

    અવિનાશ વ્યાસની આ ભાવભક્તિસભર રચના સાંભળીએ ત્યારે આપોઆપ જગદંબાનાં ઉજ્જવળ ભાલેથી ખરતા કંકુનાં કણને ઝીલવા કરસંપુટ ધરી દેવાય છે.

     

  • મહેન્દ્ર શાહનાં જાન્યુઆરી ૨૦૨૬ નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s Art Creations for January 2026

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com