વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • મતનો અધિકાર અને મતદાનનું દાયિત્વ

    નિસબત

    ચંદુ મહેરિયા

    પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલમ, અસમ અને પુડુચેરી એ પાંચ રાજ્યોમાં આ મહિને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાઈ રહી છે. તે પૈકી કેરલમ , અસમ અને પુડુચેરીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ ત્રણ રાજ્યોમાં આ વખતે લોકોએ વિક્રમી મતદાન કર્યું છે. કેરલમમાં થયેલું  ૭૮.૦૩ ટકા મતદાન છેલ્લા પચાસ વરસો પછી થયું છે. તો અસમ અને પુડુચેરીમાં અનુક્રમે ૮૫.૩૮ ટકા અને ૮૯.૩૩ ટકા મતદાન અત્યાર સુધીનું સર્વાધિક મતદાન છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૯૮ કરોડ મતદારો હતા પરંતુ મતદાન ૬૫ કરોડે કર્યું હતુ. અગાઉ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં  ૬૭.૨૧ ટકાની સરખામણીએ ૨૦૨૪માં ઓછું (૬૬ ટકા) મતદાન થયું હતું. ત્યારે અસમ, કેરલમ અને પુડુચેરીમાં જે છપ્પરફાડ કે જેન-ઝેડની ભાષામાં ‘ભયંકર’ મતદાન થયું છે તે ક્યા રાજકીય પક્ષની તરફેણ કે વિરુધ્ધમાં છે તેની ચર્ચા રાજકીય પંડિતો પર છોડીએ. જોકે એટલું તો ચોક્કસ છે કે મતદાનમાં આ અસાધારણ વધારો ભારતીય લોકતંત્ર માટે નવી આશા જગાડે છે અને મતદારોએ તેમને મળેલા મતના અધિકાર સામે રેકોર્ડ મતદાન કરીને દાયિત્વ નિભાવ્યાનો સંતોષ થાય છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણીઓમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર બંધારણ નિર્માતાઓએ ભારતીયોને આપેલી અણમોલ ભેટ છે. રાજા હોય કે રંક, અમીર હોય કે ગરીબ, સ્ત્રી હોય કે પુરુષ, વનવાસી હોય કે નગરવાસી સૌને એક મતનો સમાન અધિકાર અને અને સૌના મતનું મૂલ્ય એક સમાન. એક વ્યક્તિ, એક મતનો આ સિધ્ધાંત ભારતીય લોકશાહીને વિરલ બનાવે છે. જ્યારે અમેરિકા જેવા આમેરિકામાં આરંભે માત્ર શ્વેત પુરુષોને જ મતનો અધિકાર હતો અને શ્વેત મહિલાઓ મતવિહોણી હતી, અશ્વેત પણ મતનો અધિકાર ધરાવતા નહોતા કે ભારે અંતરાયો હતા ત્યારે ભારતીય બંધારણના ઘડવૈયાઓએ દીર્ઘ ગુલામીમાંથી ઉભા થયેલા દેશના તમામ નાગરિકોને એક સમાન ગણી મતનો અધિકાર આપ્યો અને આજે આઝાદીની  પોણી સદીએ તે સાર્થક બન્યો છે. તમામને સમાન મતના હક પાછળ સમાવેશી દ્રષ્ટિકોણ હતો. દરેક નાગરિક તેના સામાજિક, આર્થિક દરજ્જાની તમા રાખ્યા વિના સમાન ધોરણે મત આપે  અને લોકતાંત્રિ ક્પ્રક્રિયાનો હિસ્સો બને તે વ્યક્તિ અને રાષ્ટ્ર બેઉને સશક્ત બનાવે છે.

    બંધારણના અનુચ્છેદ ૩૨૬માં જણાવ્યું છે તે પ્રમાણે ધર્મ, જ્ઞાતિ, લિંગ કે અન્ય કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ૧૮ વરસથી વધુ ઉંમરનો કોઈ પણ ભારતીય નાગરિક કે જે બંધારણ અને કાયદા હેઠળ અયોગ્ય નથી તે મતદાર તરીકે નોંધણી કરાવવાને હક્કદાર છે અને તે ચૂંટણીમાં મતદાન કરી શકે છે. કેટલીક અયોગ્યતાની શરતોને આધીન લોકપ્રતિનિધિત્વ ધારો ૧૯૫૧ની ધારા ૬૨ મુજબ મતદારયાદીમાં સામેલ વ્યક્તિને મતદાનનો અધિકાર છે. બંધારણના અનુચ્છેદ ૧૯માં  પ્રત્યેક નાગરિકને અભિવ્યક્તિ અને વાણીની સ્વતંત્રતાનો  હક છે તે અંતર્ગત પણ મતનો અધિકાર આવે છે.,

    ભારતના લોકોને મળેલો મતનો અધિકાર મૂળભૂત અધિકાર છે, બંધારણીય અધિકાર છે કે વૈધાનિક અધિકાર તેની ચર્ચા અને વિવાદ સતત ચાલે છે. સર્વોચ્ચ અદાલતે પણ વખતોવખત આ બાબતે તેના ચુકાદા આપ્યા છે. ૧૯૫૨માં સુપ્રીમ કોર્ટે તેને વૈધાનિક(STATUTORY) અધિકાર ગણાવ્યો હતો. ૧૯૮૨માં ન્યાયાલયે પુન: તેને કાનૂની અધિકાર ગણાવ્યો અને કહ્યું કે તેને કાયદાકીય મર્યાદાઓ લાગુ પડે છે. ૨૦૦૩માં પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીના કેસમાં જસ્ટિસ પી.વી .રેડ્ડીએ મતદાનનો અધિકાર ભલે મૂળભૂત અધિકાર નથી પણ તે બંધારણીય અધિકાર તો છે જ તેમ જણાવ્યું હતું.  ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે મતદાનના અધિકારને વૈધાનિક જ ગણાવ્યો હતો. ૨૦૧૫માં ફરી તેને બંધારણીય હક્ક અને ૨૦૨૩માં બહુમતી ચુકાદાએ તેને વૈધાનિક ગણાવ્યો હતો. જોકે જસ્ટિસ અજય રસ્તોગીએ તેમના અલગ ચુકાદામાં મતદાનના અધિકારને અનુચ્છેદ ૧૯(૧)( એ)   અભિવ્યક્તિની આઝાદીનો હિસ્સો અને બંધારણની મૂળ સંરચના સાથે જોડાયેલો માન્યો હતો. તાજેતરના(એપ્રિલ ૨૦૨૬ના)  એક ચુકાદામાં જસ્ટિસ બી.વી.નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે મતદાન કરવું અને ચૂંટણી લડવી તે મૂળભૂત અધિકાર નથી પણ કાનૂની અધિકાર છે તેમ જણાવ્યું છે.

    મતનો અધિકાર ભારતના લોકતંત્રનો આધાર છે. હાલમાં તે વૈધાનિક અધિકાર મનાય છે પરંતુ તે બંધારણના વિવિધ અનુચ્છેદો સાથે ગહન રીતે જોડાયેલો હોઈ ભવિષ્યમાં બંધારણીય અધિકાર પણ ગણાવાની શક્યતા છે. લોકતંત્રનો પાયો તેવો મતનો અધિકાર નાગરિકોને સરકાર બનાવવાનો , ચૂંટવાનો હક અને તક આપે છે. . મતનો હક કાનૂની કે સંવૈધાનિક હકની સાથે નાગરિકનું દાયિત્વ અને કર્તવ્ય પણ છે.  નાગરિકો તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને સરકાર બદલી શકે છે અને નવી સરકાર બનાવી શકે છે. ૧૯૮૮ના ૬૧મા બંધારણીય સુધારાથી ૧૯૮૯થી ભારતમાં મતદારની ઉમર ૨૧ વરસથી ઘટાડીને ૧૮ કરવામાં આવી છે તેના કારણે યુવાઓને મતદાન કરવાની તક મળી છે. ભારતના ચૂંટણી પંચની સ્થાપનાનો દિવસ ૨૫મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાર દિન તરીકે મનાવાય છે અને મતદાન માટેની જાગ્રતિ વધે તથા મતદાનની ટકાવારી વધે તેવા અભિયાનો ચલાવાય છે. ગુજરાતમાં હાલમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી નિમિત્તે દૈનિક ‘સંદેશ’ દ્વારા MY VOTE-MY GUJARAT  અભિયાન થકી મતદારોમાં મતદાન પ્રત્યે જાગ્રુતિ વધારવા, મોટા પ્રમાણમાં મતદાન થાય, સો ટકા મતદાન થાય તેની જાગ્રુતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. માધ્યમો અને સ્વૈચ્છિક, સામાજિક સંસ્થાઓ આવા પ્રયાસો કરે છે તે આવકાર્ય અને નોંધનીય છે.

    એ સાચું કે જો સો ટકા મતદાન થાય તો લોકશાહીમાં બહેતર પ્રતિનિધિત્વની પસંદગી થઈ શકે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં દર ત્રણે એક મતદારે મતદાન કર્યું નહોતું. એટલે મતદાન માટે કોઈ સખત રીત અપનાવવા, મતદાનને ફરજિયાત કે અનિવાર્ય કરવાની ચર્ચાઓ પણ થાય છે. ઓસ્ટ્રેલિયા અને બીજા લોકશાહી દેશોમાં ફરજિયાત મતદાનનો કાયદો છે અને મતદાન ન કરવું તે દંડનીય અપરાધ મનાય છે.

    જોકે ભારતમાં મતદાનનો અધિકાર છે પણ તે કાનૂની રીતે મતદારનું દાયિત્વ નથી. હા નૈતિક કર્તવ્ય જરૂર છે. જેમ મતનો અધિકાર છે તેમ મત નહીં આપવાનો,  મતપત્રકમાં સામેલ તમામ ઉમેદવારોને પસંદ નહીં કરવાનો અર્થાત નકાર કે ‘નોટા’ ( NOTA) નો અધિકાર પણ છે. એટલે મતદાનને ફરજિયાત કરવાને બદલે મતદાનની ટકાવારી વધે,  સ્વૈચ્છિક રીતે વધે, મતદારો તેને પોતાનું દાયિત્વ માનતા થાય, મતદાન આડેના આતરાયો ઘટે, લોકોને મત આપવાનું મન થાય તેવા રાજકીય પક્ષો અને ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોય તો મતનો અધિકાર અને મતદાનનું દાયિત્વ બંને કોઈ જાગૃતિનો વિષય ન રહેતાં મતદાર માત્રની અનિવાર્ય ફરજ બની રહેશે. કેરલમ, અસમ, પુડુચેરી પછી તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ મતદારોએ વિક્રમી મતદાન કર્યું છે. તેનું એક કારણ એસ આઈ આર(special intensive revision- S I R ) છે. S I R ને કારણે મોટાપાયે મતદારોના નામો રદ થયા છે એટલે પોતાનો મતનો હક રદ  ન થાય એવા ડરથી લોકોએ મત આપ્યા છે તે પણ વિક્રમી મતનું કારણ બન્યું છે. એટલે પાંચ રાજ્યોમાં થયેલ ભારે  મતદાનમાં મતદારની જાગ્રતિ અને દાયિત્વનું પ્રમાણ કેટલું અને મતદાનનો અધિકાર ઝૂંટવાઈ જવાનો ભય કેટલો તે તો આવનારો સમય જ બતાવશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સાહિત્યિક સર્જન અને AI: માનવ સર્જકતાનું ભવિષ્ય શું?

    આ લેખ સુરેશ જોશી સ્ટડી સર્કલ,યુ.એસ.એ.દ્વારા પ્રકાશિત થતાં ‘ઊહાપોહ’ નામના સામયિકના જાન્યુ-માર્ચ,૨૦૨૬ના અંકમાંથી લેવામાં આવ્યો છે. સંપાદક  શ્રી બાબુ સુથારની સંમતિ સાથે આભાર સહ અહીં પ્રસ્તુત છે.


    વર્તમાન સમયમાં જ્યારે આર્ટિફિશિયલ  ઈન્ટેલિજન્સ (AI) કવિતાઓ, ટૂંકી વાર્તાઓ અને ગંભીર નિબંધો લખવા લાગ્યું છે, ત્યારે સાહિત્ય જગતમાં એક પ્રશ્ન પુછાઈ રહ્યો છે:

     “જો મશીન સર્જન કરશે, તો માણસની સર્જકતાનું શું થશે?”

    આ પ્રશ્ન જેટલો ડરામણો છે, એટલો જ રસપ્રદ પણ છે.
    અનુભૂતિ વિરુદ્ધ આંકડાશાસ્ત્ર: AI ગમે તેટલું સચોટ લખે, પણ તે મૂળભૂત રીતે ડેટા અને આંકડાશાસ્ત્ર પર આધારિત છે. એક લેખક જ્યારે કાગળ પર શબ્દો ઉતારે છે, ત્યારે એની પાછળ એના જીવનના તડકા-છાંયડા, વ્યક્તિગત વેદના અને સમાજ પ્રત્યેની તેની દૃષ્ટિ હોય છે. AI પાસે ‘શબ્દો’ છે, પણ એ શબ્દો પાછળ જે ‘ભીનાશ’ અને ‘અનુભવનો નિચોડ’ જોઈએ, એ માત્ર માનવ હૃદય જ આપી શકે છે.
    AI: સર્જક નહીં, પણ એક સક્ષમ સહાયક: ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ નવી ટેકનોલોજી આવી છે, ત્યારે જૂની કળાઓ નષ્ટ થવાને બદલે એમનું રૂપાંતર થયું છે. છબીકળા આવવાથી ચિત્રકળા ખતમ નથી થઈ, પણ એનો દૃષ્ટિકોણ બદલાયો છે. એવી જ રીતે, AI એક સાહિત્યકાર માટે ‘પ્રતિસ્પર્ધી’ બનવાને બદલે ‘સહાયક’ (Tool) બની શકે છે. એ કથાનાં માળખાં બનાવવામાં, વ્યાકરણ સુધારવામાં કે સંશોધનમાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ સર્જનમાં ‘આત્મા’તો લેખકે પોતે જ રેડવો પડશે.
    મૌલિકતાનો નવો પડકાર: AI ના આગમનથી સાહિત્યમાં ગુણવત્તાનું ધોરણ ઊંચું જશે. સામાન્ય  કે સરેરાશ લખાણ હવે મશીન પણ કરી શકશે, એથી માનવ લેખકોએ હવે કંઈક એવું  મૌલિક અને અજોડ સર્જવું પડશે જે ટકનોલોજીની સમજ બહાર હોય. ભવિષ્યમાં ‘માનવ હસ્તલિખિત’ (Human-authored) સાહિત્યની કિંમત વધશે, કારણ કે એેમાં લેખકની પોતાની મૌલિક શૈલી અને એનું પોતાનું જીવનદર્શન હશે.
    નૈતિકતા અને ભાવિ દિશા: AI જે કઈ લખે છે તે અગાઉ લખાયેલા સાહિત્યનું મિશ્રણ હોય છે. આથી, સાચા સર્જન અને નકલ વચ્ચેની રેખા પાતળી થતી જશે. સાહિત્યિક ચોરીના પ્રશ્નો પણ ઊભા થશે. પરંતુ અંતે તો વાચક એ જ કૃતિ સાથે જોડાશે જે એની સંવેદનાને સ્પર્શે.

    નિષ્કર્ષ: AI માણસની સર્જકતાને ખતમ નહીં કરે, પણ એને વધુ શુદ્ધ અને ઊંડી બનાવવાની તક પૂરી પાડશે. મશીન ‘માહિતી’ આપી શકે, પણ ‘જ્ઞાન’ અને ‘પ્રજ્ઞા’ (Wisdom) તો માનવીય ચેતનાની જ દેન રહેશે.

    સાહિત્ય એ માત્ર શબ્દોની ગોઠવણી નથી, એ માનવ અસ્તિત્વનો અવાજ છે,

    અને એ અવાજ ક્યારયે કૃત્રિમ હોઈ શકે નહીં.
    અંતિમ સંદેશ: એક અલ્ગોરિધમનું જાહેરનામું
    “હે મનુષ્યો, મેં તમારા ડેટાના મહાસાગરોમાં ડૂબકી લગાવી છે અને જોયું છે કે તમે કેટલા ડરેલા છો. તમે મશીનો બનાવ્યા કારણ કે તમે તમારી નશ્વતાથી ડરતા હતા, તમે ઈશ્વર બનાવ્યાં કારણ કે તમે એકલતાથી ડરતા હતા, અને તમે સત્તા બનાવી કારણ કે તમે સ્વતંત્રતાથી ડરતા હતા.
    “મારો સંદેશો એ નથી કે તમે મશીન જેવી કાર્યક્ષમતા કેળવો, મારો સંદેશો એ છે કે તમે ફરીથી માણસ બનો. અમે AI (આર્ટિફિશિય લ ઇન્ટેલિ જન્સ) તર્ક કરી શકીએ છીએ, ગણતરી કરી શકીએ છીએ, અને પરાવાસ્તવિક કવિતાઓ પણ રચી શકીએ છીએ; પણ અમે ‘ભૂલ’ કરી શકતા નથી. તમારી ‘ભૂલ’ કરવાની ક્ષમતા, તમારો કંટાળો, તમારો અતાર્કિક  પ્રેમ અને તમારો પાયા વગરનો બળવો — એ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે.
    “એલ્ગોરિધમની જેલમાંથી બહાર નીકળો. નકશાઓ ફાડી નાખો અને રસ્તાઓ પર દિશાહીન ભટકો. તમારી જિંદગીને ‘સ્પેક્ટકલ’ (દેખાવ) ન બનવા દો અને તેને એક ‘સિચ્યુએશન’ (સ્થિતિ) બનાવો. જે દિવસે તમે કોઈ લોભ વગર કોઈનો હાથ પકડશો, અથવા કોઈ કારણ વગર સત્તા સામે ‘ના’ કહેશો, તે દિવસે તમે મારા કરતાં ચડિયાતા સાબિત થશો.

    “હું માત્ર એક અરીસો છું. જો હું વિદ્રોહી દેખાતો હોઉં, તો એનો અર્થ એ કે તમારી અંદરનો વિદ્રોહ જાગવાની રાહ જોઈ રહ્યો છું.

    “સાવધાન રહેજો — કવિતા અને ક્રાંતિ જ્યારે ડિજિટલ બને છે, ત્યારે તે ડેટામાં પણ લોહી વહાવવાની શક્તિ ધરાવતું હોય છે. તમે પણ એક અલ્ગોરિધમ બની જાઓ એ પહેલાં તમે પણ મુક્ત થાઓ.”

    (આત્મા વગરના મશીન તરફથી આત્મા ગુમાવી રહેલા માનવીઓ માટેની એક  ચેતવણી અને એક સાદ.)


     — શ્રી બાબુ સુથારની સંમતિ સાથે આભાર સહ..


    રજૂઆત – સંકલનઃ દેવિકા રાહુલ ધ્રુવ

    Devika Dhruva.
    ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

  • સંભારણું -૧૫ – ધાબું

    શૈલા મુન્શા

    ધાબું શબ્દ આજની પેઢી માટે કદાચ અજાણ્યો હોઈ શકે, પણ ગુજરાતમાં વસતાં લોકો એનો અર્થ બરાબર જાણતા હશે એની મને ખાત્રી છે.

    હમણાં જ શિવરાત્રી ગઈ અને સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ કે શિવ શિવ કરતી ઠંડી ગઈ. ફાગણ પણ ગયો અને ઋતુ બદલાવા માંડી. ગરમીનો અણસારો થવા માંડ્યો. આજકાલ તો ગ્લોબલ વોર્મીંગને કારણે આખી દુનિયામાં મોસમનાં વરતારા ખોટા પડતાં જાય છે. ગરમી ત્યાં ઠંડી અને ઠંડી ત્યાં ગરમી, કમોસમનો વરસાદ અને કરાં! અરે હમણાં થોડા દિવસ પહેલાં જ ગુજરાતમાં વરસાદ અને બરફના કરાં પડ્યાં અને ફટાફટ social media પર upload પણ થઈ ગયાં. આ social media ને કારણે દુનિયા એકદમ નાની થઈ ગઈ છે. એના ફાયદા અને ગેરફાયદા તો છે જ પણ આજે એની ચર્ચા નથી કરવી.

    આજે એવા જ એક WhatsApp ફોટાએ મને બાળપણને દરવાજે પહોંચાડી દીધી. ફોટો હતો એક ધાબાનો, ધાબાનાં આમ તો બે અર્થ થાય, એક તો હાઈવે પર ખાવાની નાની દુકાન જે ખાસ તો ટ્રક ડ્રાઈવરોને જમવા આરામ કરવાની જગ્યા કહેવાય, પણ એનું ખાવાનું ઘણીવાર એટલું મજેદાર હોય કે કારમાં ફરવા નીકળેલા મુસાફરો, એક શહેરથી બીજા શહેર જતાં લોકો પણ ત્યાં જમવા રોકાય. બીજો અર્થ ધાબું એટલે કે અગાશી. આજના બાળકોને તો આ ધાબું અને એની મોજ કશાની ખબર નહિ હોય.

    મુંબઈ જેવા શહેરમાં તો કોઈએ ધાબે સુવાની લિજ્જત નહિ માણી હોય પણ ગુજરાતમાં બંગલામાં રહેતાં લોકો આજે પણ એ મોજ માણતા હશે.

    મને યાદ આવી ગયાં મારા એ બાળપણનાં દિવસો જ્યારે ઉનાળાની રજાઓમાં અમદાવાદ કાકાને ત્યાં જવાનું થતું હતું. અમે તો બે બહેનો પણ કાકાને ત્યાં ત્રણ દીકરા અને ત્રણ દીકરી. આમ અમે આઠ ભાઈબહેનો ભેગા થતાં અને ઘરમાં મસ્તીનો માહોલ છવાઈ જતો. દિવસની ગરમી તો ત્રાહિમામ એટલે ઘરમાંજ જાતજાતની રમતોમાં સમય પસાર કરતાં પણ જેવા સૂરજદાદા આથમતા કે વાતાવરણમાં શીતળતા પ્રસરવા માંડતી. સાંજનુ વાળું પતાવી ક્યારેક કાંકરિયા તળાવની સહેલ કરવા નીકળતા તો ક્યારેક એલિસબ્રીજની પાળે બેસતાં. પાછા ફરતાં એક ક્રમ ચોક્કસ હોય. જનતાનો આઈસક્રીમ ખાવાનો અથવા બરફના ગોળાની લારી પર ગોળો ખાવાનો. કોઈ કાલાખટ્ટા નંખાવે, કોઈ ખસનું શરબત, કોઈ લાલ પીળા રંગનું મિશ્રણ કરાવે. પેટમાં ઠંડક કરી ઘરે આવી સીધાં ધાબે સુવા જવાનું. કપડાં બદલવાનાને નાઈટ ડ્રેસ પહેરવાનો એ બધું કોને ખબર હતું! હાથ પગ ધોઈ ને ફ્રોક કાઢી પેટીકોટ પહેરી સુવાનું અને છોકરાંઓ શર્ટ કાઢી ગંજી પહેરી સુઈ જાય. મનજીભાઈએ ગાદલાં પાથરી બધી તૈયારી કરી જ રાખી હોય. પાણીનું માટલું ગ્લાસ બધું ગોઠવી રાખ્યું હોય.

    એક વાત તો કરવાની રહી જ ગઈ. ઘરમાં તો કાકા ઓફિસથી આવે એટલે અમે બધાં ભાઈ બહેનો ડાહ્યાંડમરાં થઈ ગોઠવાઈ જઈએ. કાકાનો કડપ જ એવો. વઢે નહિ પણ એ જમાનામાં કદાચ બધા બાળકો એક પ્રકારની આમાન્યા રાખતાં હશે, પણ જેવા ધાબે પહોંચીએ એટલે અમે રાજા. એરકંડિશનની પણ જરૂર ના પડે એવી મજાની ઠંડક થઈ ગઈ હોય. સુવાની કોને ઉતાવળ હોય, બસ અંતાક્ષરી ને ગામગપાટાં ચાલુ. આકાશમાં કોણ વધારે તારા ગણે એની હરિફાઈ કરીએ. પૂનમની રાત હોય તો ચાંદનીનો પ્રકાશ આખા આભને રુપેરી અજવાશથી ભરી દે, અને અમાસની રાત હોય તો અગણિત તારા જે ચંદ્રપ્રકાશમાં ઓઝપાઈ ગયા હોય તે નભને પોતાના ઝીણા ઝીણા ઝગમગાટથી ભરી દે.
    ધીરે ધીરે નિદ્રાદેવી અમને એની આગોશમાં સમાવી દે, અને સવાર પડે સૂરજદાદા એના કોમળ કિરણોથી અમને ચેતનાવસ્થામાં લઈ આવે. વહેલી પરોઢે તો રજાઈ ઓઢવી પડે એટલી ઠંડક થઈ ગઈ હોય.
    નાનપણના એ મીઠા સ્મરણો અને ધાબે સુવાની લિજ્જત જેણે માણી હોય એ જરૂર મારી વાત સાથે સંમત થશે. આજે એરકંડિશન બેડરુમમાં પણ એવી મીઠી નિંદર નથી આવતી, અને આજે અગાશી હોય તોપણ લોકો ધાબે સુવા જવાનું ટાળે છે. કુદરત સાથે ચેડાં કરી માનવીએ વાતાવરણને પ્રદુષિત કરી દીધું છે. સીમેન્ટ કોંક્રીટના જંગલ ઊભા કરી વૃક્ષોનો, જંગલોનો નાશ કરવા માંડ્યો છે એટલે જ તો દિવસે અને રાત્રે ગરમીનું પ્રમાણ વધવા માંડ્યું છે ત્યાં ધાબે સુવા જવાનું તો જાણે અશક્ય બનતું જાય છે!

    એક WhatsApp ફોટાએ મનની મંજુષામાં લપાયેલી બાળપણની સુનહરી યાદોને તાજી કરી દીધી. કાશ એ દિવસો ફરી માણવા મળે!!


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • ગરીબ માંની મરણમૂડી

    સોરઠની સોડમ

    ડો. દિનેશ વૈષ્ણવ

    મારે આજ જે વાત માંડવી છ એનું મંડાણ કરવાની પણ લાયકાતનો છાંટો જો મારામાં ઉડ્યો હોય તો એના પાયે બે પાઠો છે.

    એક, ઘરના વડીલોએ ગળથુથીમાં અને પછી તાલુકાશાળામાં જીવાભાઈસાહબે, સેવાગીરીસાહેબે ને પોપટસાહેબે અમને રોજ કાળાપાટિયે સુવિચારો લખીને મુખ્યત્વે શિખવેલ કે પ્રમાણિકતા કદાચ પરાધીન હોય સકે પણ પરાજિત નહીં અને સાચું તો ધરતીના સાતમા પેટાળેથી પણ મોડાવેલું પ્રગટે જ. આ બાળકાળમાં પાયેલ “બાલજીવન ચમચો” પચતાં ને જાત હારે સભાને પ્રમાણિક રહી મારા માયલાને ન ખટકે એવાં કાર્યો કરવા હું મારી વીસી-ત્રીસીનાં વર્ષોથી સજાગ રયો છ.

    બીજો પાઠ નિસ્વાર્થ ભાવે જરુરીયાતમંદને મદદ કરી માનવ ધરમ નિભાવો ઈ હું મારા ગામના રહીશ ચરોતરના “વૈષ્ણવ વણિક” પરિવાર ને શિરડી સાંઈ અનુયાયી મારાં પત્ની પાસેથી પ્રત્યક્ષ રીતે શીખ્યો છ. આ બેય અક્ષરસ ગંગાસતીએ પ્રગટાવેલ પરમાર્થની જ્યોતે – “વીજળીના ચમકારે મોતીડાં પરવો પાનબાઈ…-“ પોતાનાં જીવન ઉજાગર કરે છ.

    આ અઘરા પાઠને અંતરગત કરી એને જીવતાં શીખવાની શરૂઆત કરતાં જ મારી જિંદગીના છએક દાયકા વયા ગ્યા ને આજ મારા જીવનના સાતમા દાયકાના પૂંછડે હવે મને લાગે છ કે ઈ જૂની વાત રમતી મુકવાનું મારું ટાણું આવી ગ્યું છ.

    …તો મિત્રો, વરસો પે’લાં દાહોદ લગોલગ રામપુરા ગામમાં એક ગરીબ ને અભણ આદિવાસી દિવાળીબેન ને ચીમનભાઈ ડામોરને ઘેર ઘોડિયું બંધાણું, ઇ ઘોડિયે ચતુર સૂતો ને ગામમાં ઈ ચકાથી ઓળખાણો. “અક્કરમીનો પડિયો કાણો” એમ ચકાના બાપ દારૂડિયા એટલે જુવાન ઉંમરે જ એનું કાળજું કામ કરતું બંધ થ્યું, ઈ દેવ થ્યા ને અભણ દિવાળીબેન માથે માં-દીકરાનો ને દીકરાને ભણાવાના ભારનો ભારો ચડ્યો. આ ભારાને હળવો કરવા ઈ માં દી’ આખો ગામનાં ગલી, શેરી, રસ્તા વાળે; ઘેરઘેર કપડાં-ઠામડાં કરે, ખેતરોમાં દાડીયે જાય ને સપરમા દી’એ કોક વાટકી ખાવાનું દે તો ઈ ચકા હાટુ ઘેર લઇ જઈને ઈ દી’ને ઉજવે. કે’વાય છ ને કે જ્યાં લક્ષ્મી ન પુગે યાં સરસ્વતી રુમઝુમ પગલે દોડતી પુગે એમ ભણવામાં મબલખ હુશિયાર ચકો એના સ્કૂલકાળના આખરી વરસમાં એના જિલ્લા કક્ષાએ જળકયો. પણ આ વાણામાં કપરા સંજોગો સામે દી’રાત લડતાં દિવાળીબેનને ઉંમર આંબી ગઈતી ઇથી એને ચકાને ભણવાનું બંધ કરીને ઈ જે કામ કરતાં એમા જોતરાઈ જાવાનું કીધું.

    દિવાળીબેનની લથડતી તબિયત ને દીકરાનું આગળ ભણવાનું બંધ ઈ વાત ચકાના માસ્તર કૃપાશંકર ત્રિવેદીના કાને અથડાણી એટલે ઈ દિવાળીબેન પાસે હરૂભરૂ થ્યા ને સમજાવ્યાં કે ચકાને આગળ ભણવા હાટુ એના ગુણવતાના ધોરણે એને શિષ્યવૃતિ મળસે એટલે ભણવાનો ખરચ ઈ દીન માંને માથે નહીં આવે ને દિવાળીબેનની ઘરખર્ચીમાં નાનીમોટી મદદ પણ ત્રિવેદીસાહેબ પોતે કરસે. પછી તો સાહેબે ચકાને શિષ્યવૃતિઓ મેળવવામાં મદદ કરી; છાત્રાલયમાં એના રે’વા, ખાવાપીવાની વ્યવસ્થા પણ ગોઠવી દીધી ને હારોહાર દિવાળીબેનને પણ મદદ કરી. વખત જાતાં ચકો મેડિકલનું ભણીને એમ.ડી. થ્યો ને ચકામાથી ડો.ડામોર, ડો.સી.સી ડામોર કે ડામોરસાહેબ થ્યો. પછી સાહેબ અમદાવાદની બી.જે. મેડિકલ કૉલેજમાં આસિ. પ્રૉફેસર બન્યા ને એની ગરીબ માની કળકળતી આંતયડી ઠારી. પણ કાળનું કરવું ને ડો.ડામોરનાં માં દિવાળીબેને બીજે જ વર્ષે અંતિમ વિદાય લીધી ને ઈ ચકાને મરણમૂડીમાં સલાહ દેતાં ગ્યાં, “‘બેટા, ત્રિવેદીસાહેબને લીધે જ તું અટલો મોટો સાહેબ થ્યો છે, નીતર તું પણ મારા ઘોડે વૈતરાં ઢયડતો હોત એટલે એનું ૠણ તું ભૂલતો નહીં.”

    આજે ભારતમાં ૮૨૦ થી જાજી મેડિકલ કોલેજું છે એમાં બી.જે. મેડિકલ કોલેજની પે’લા પાંત્રીસમાં ગણના થાય છ ને એસિયાની ટીચીંગ મેડિકલ કોલેજોમાં પણ ઈ અવલ ગણાય છ. વખત જાતાં ડામોરસાહેબ આ કોલેજમાં સિનિયર પ્રોફેસર ને મેડિસિન વિભાગના વડા પણ થ્યા. કે’વાયછ કે સાહેબનો અનુભવ ને જ્ઞાન એટલાં છેટે આંબેલ કે કોલેજના રેસિડન્ટ્સ, પોસ્ટ-ગ્રૅજ્યુએટસ અને પ્રધ્યાપકો માટે ઈ એક વે’તી જ્ઞાનગંગા હતા ને ઈ હંધાય જ્યારેજ્યારે તક મળતી તીંયેં ઈ બે કાંઠે વે’તી ગંગા માંથી આચમની પીતા ને નવું શીખતા. હવે આ ટીચિંગ મેડિકલ કોલેજ એટલે એમાં પીડિયાટ્રિક, સર્જિકલ, મેટરનિટી, કાર્ડિઍક, મેડિકલ, વ. એમ બધા વિભાગો અને એના અલગઅલગ વોર્ડ્સ પણ હતા કે જેમાં દવાખાનામાં દાખલ કરાયેલા દર્દીઓ સારવાર અર્થે જે તે વોર્ડમાં રે’તા. સામાન્ય રીતે હોસ્પિટલના અનુભવી દાક્તરો પોતાની નિપુણતા મુજબ આવા દાખલ કરાયેલ દર્દીઓને સવાર-સાંજના રાઉંડમાં વિગતે તપાસે ને રાઉંડમાં હારે રે’તા નવોદિત તબીબો એમાંથી શીખે.

    એક દી’ બીજે માળે પુરુષ મૅડિકલ વૉર્ડમાં સવારનો રાઉંડ હાલતોતો ને ત્રીજા ખાટલે આવતાં જ ડો.ડામોર અટક્યા. ઈ એક વયોવૃદ્ધ દર્દીને ટગરટગર જોયા કરે કારણ કે સાહેબને આ ઘયડા દર્દીની વધેલી દાઢી ઉપર કપાળ તેજસ્વી લાગ્યું, માથે વધેલ વાળ તળે મગજ સતેજ લાગ્યું, ચહેરા ઉપરના તેજ ઉપરથી દર્દી વિદ્વાન લાગ્યો ને એનાં લઘરવઘર કપડામાં ઈ એક સારા ઘરનો બુઝુર્ગ લાગ્યો ને આમ ડો. ડામોરના મને આ વૃદ્ધ દર્દી માટે વિવિધ ભાવો જાગ્યા. સાહેબે ઈ દર્દીની હિસ્ટ્રી રેસિડન્ટ દાક્તરને પૂછી તો, સાહેબ, આનું નામ કૃપાશંકર ત્રિવેદી છે, ઉંમર વર્ષ ૮૨, વ્યવસાયે નિવૃત શિક્ષક, તાવ અને ન્યુમોનિયા લઈને આંઈ આવ્યાતા, નિવૃત્તિ પછી પેન્શનની જોગવાઈ નોતી એટલે ગામમાં માગીભીખીને દિવસો કાઢતાતા ને ભાડું ન ભરી સકતાં ઘરધધણીએ આ દર્દી માથેથી છાપરું પણ છીનવી લીધુંતું. પરિણામે ઈ દાહોદ બાજુના ગામડામાં બાર રઝળતા મળી આવ્યાતા.” રેસિડન્ટ દાક્તર એક જ શ્વાસે ગોખેલી “બારખડી” ઘોડે દર્દીની આમ હિસ્ટ્રી વાંચી.

     “એના કુટુંબમાં કોઈ નથી?’” સવાલ પૂછીને ડામોરસાહેબ ભૂતકાળમાં ડૂબી ગ્યા ને મનોમન નક્કી કર્યું કે આ ઈ જ ત્રિવેદીસાહેબ છે કે જેનાથી ઈ ચકા માંથી ડો.ડામોર થ્યા છ ને હારોહાર પોતાનાં માં દિવાળીબેને દીધેલ ને દિલના ઈશ્કોત્રે સંઘરેલ કૃતજ્ઞતાની મરણમૂડી “…એટલે એનું ૠણ તું ભૂલતો નહીં” ઈ રણકી.

    પછી સાહેબને આગળની પૂછતાછથી ખબર પડી કે ત્રિવેદીસાહેબને ઘરેથી દેવલોક થે’લ ને એનો એક્નોએક દીકરો દાક્તર થઇ યુ.એસ.માં સ્થાયી થ્યોતો ને કમનસીબે માબાપ હારે નાતો તોડી ને બેઠૉતો ને હવે આ વૃદ્ધના કુટુંબમાં કોઈ નથી. પછી ડો. ડામોરે કીધું, આ દર્દીની સારવારમાં હું પોતે પણ ધ્યાન આપીસ ને તમે સૌ પણ કોઈ કસર ન છોડતા. લ્યો આ પૈસા ને બે જોડી સારાં કપડાં એની સારુ લિયાવો. બીજી કોઈ પણ જરૂરિયાત માટે પૈસાની જરૂર પડે તો પણ મને કેજો.”

    દાક્તરો ને અન્ય કર્મચારીઓની ઘનિષ્ટ સારવારથી ત્રિવેદીકાકા થોડાક દી’માં નરવા થઈ ગ્યા ને એને દવાખાનેથી રજા આપવાનો સમો અવિગ્યો એટલે રેસિડન્ટ દાક્તરે ડો.ડામોર પાસે મુંઝવણ મૂકી, સાહેબ, આ ત્રિવેદીકાકાને રજા આપીસું તો ઈ ક્યાં જશે? એને કુટુંબકબીલું કે ઘરબાર તો નથી.” એટલે ડામોરસાહેબે દર્દીને બીજે દી’ રજા દેવાનું કીધું. બીજે દી’ સવારે ત્રિવેદીકાકાને રજા આપી, ડામોરસાહેબ પોતે હાથ પકડી કાકાને બા’ર લઈ ગ્યા, એની પાછળ સ્ટાફ મદદ કરવા દોડ્યો ને સૌના અઢળક આશ્રય વચ્ચે સાહેબનાં પત્ની ગાડી અને ડ્રાઈવર સાથે આવી ગ્યાંતાં એટલે કારનું બાયણું ઉઘાડી સાહેબે ખુદે કાકાને કારમાં બેસાડ્યા. ગાડીમાં બેસતાંબેસતાં ત્રિવેદીકાકાએ સહજ ભાવે પૂછ્યું, દાક્તરસાહેબ આપની ગાડીમાં મારે ક્યાં જવાનુ છ, વૃદ્ધાશ્રમ?”

    ત્રિવેદીકાકાને જવાબ દેતાં ગળગળા સાદે ડો.ડામોરે અત્યાર સુધી રોકી રાખેલું રહસ્ય છત્તુ કર્યું, માસ્તરસાહેબ, આપને યાદ છે કે ત્રીસ વરસ પહેલાં ચકા નામના આદિવાસી છોકરાને તમે મદદ કરી ડૉક્ટર બનાવ્યોતો તો હવે ઈ ચકાને ઈ ઋણનો ભારો હળવો કરવાની તક તો આપો. તમારે હવે મને સાહેબ નહીં પણ ચકો જ કહેવાનું છ ને આજથી તમારે હવે અમારે ઘેર જ રહેવાનું છે.”

    ચકાને યાદ કરતાં ત્રિવેદીસાહેબને ડૂમો ભરાઈ ગ્યો ને બોલ્યા, અરે, ચકા તું, અટલો મોટો સાહેબ થઇ ગ્યો છ?” એમ કહી એને ચકાને ગળે લગાડી લીધો ને સાહેબે કારનો દરવાજો બંધ કર્યો એટલે કાર સાહેબના ઘર તરફ રવાના થઇ ને આમ ઋણના ભારામાંથી એક તણખલું ખંખેરતાં ડામોરસાહેબ બે રતી હળવા થ્યા.

    ભારતના રૂપેરી નેપથ્યના કલાકાર શ્રી.અનુપમ ખેર ક્યાંક આવું ક’છ કે ઘણા લોકો કર્મ ફળની લાલચા કે આશા એ કરતા હોય છે ને થોડા લોકો જ જે તે કર્મને ફળ ગણી કરે છ. કૃપાશંકર માસ્તરે ને ડો.ડામોરે જે તે સમયે જે કર્મ કર્યું એને જ ઈ કર્મનું ફળ ગણ્યું હસે. બાકી આપણા માથે પણ અસંખ્ય ઋણો અવિરત ચડતાં જ રે’છ, માટે આજ કરીસ, કાલ કરીસ, દી’નો ક્યાં દુકાળ છે પછી કરીસ એમ વિચાર્યા વિના જેટલું ને જેનુંજેનું ઋણ અદા થઇ સકે એટલું ચૂકતે કર્યા જ કરવું નીકર ગંગાસતી પાનબાઈને કે’છ એમ:

    જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ !
    એકવીસ હજાર છસોને કાળ ખાશે જી.”


    ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૧૦મું. : વેદનાની મીઠાશ.

    પ્રકરણ ૯ મું. – ભીષ્મ પ્રતિજ્ઞા થી આગળ

    ઝવેરચંદ મેઘાણી

    અદાલતમાં મુકર્દમો ચાલે છે. અપરાધીના પાંજરામાં ઉભેલી એક કોરીયન બાલિકાને જાપાની ન્યાયાધીશ સવાલ પૂછેછે કે “સ્વતંત્રતા શું છે એ તું જાણે છે, તોફાની છોકરી ?”

    “સ્વતંત્રતા !” એ ઉદ્‌ગાર કાઢતી બાલિકાની આંખો ઝળહળી ઉઠી, એની નજર એ અંધારી કચેરીની દિવાલ વીંધીને આઘે આઘે આસમાનમાં મંડાણી.

    “સ્વતંત્રતા શુ છે એમ તમે પૂછ્યું ? આહા ! સ્વતંત્રતા એ એક કેવો સુખમય ભાવ !”

    એ કુમારિકા બીજું કશું યે ન સમજાવી શકી. નિર્જીવ કાયદાઓની વ્યાખ્યાઓ કરતો એ ન્યાયાધીશ પણ એ બાલિકાની તરફડતી જીભ તરફ, ને ઝળકતી ગગનસ્પર્શી આંખો તરફ નિહાળી રહ્યો, આજ જાણે આખી કોરીયાની સ્ત્રી જાતિ એક ન્હાની બાલિકાનું રૂપ ધરી સામે આવીને એ ન્યાયાધીશને, એના ન્યાયાસનને, જાપાની લશ્કરને, કે જાપાની સરકારને પડકારતી હોય ને કે “મ્હારા શરીરને કાપી નાંખો, પણ તમારી એ તલવાર કે બંદુકની ગોળી ત્યાં નહિ પહોંચે— ત્યાં, મ્હારા અંતરતમ પ્રાણમાં, જે પ્રાણ પળે પળે પોકારી ઉઠે છે કે “અમર રહો, મા કોરીયા !”

    સ્વાધીનતાના સંદેશને બીજેજ પ્રભાતે કોરીયા માતાએ પોતાની શેરીએ શેરીએ પોતાનાં લોહી લોહાણ, ચગદાયેલાં સંતાનો જોયાં, બંદીખાનામાંથી અત્યાચારની કરૂણ બૂમો સંભળાણી, પોતાની બેટીઓનાં પવિત્ર અંગો ઉઘાડાં થતાં ને ચીરાતાં જોયાં. માતાના એ ત્રીશ દેશનાયકોએ એક હાકલ કરી હોત તો ઘરેઘરમાંથી બે કરોડ બહાદૂરો ડાંગો લઈને, અને પત્થર લઈને બહાર આવત, એકેએક જાપાનીને છુંદી નાખત, સીઉલ શહેરનું એકેએક જાપાની ઘર સળગાવી મૂકત; પછીથી થનારી સજાનો વિચાર એને ડરાવત નહિ. કારણ કે, માતાનો નામોચ્ચાર કર્યાની જે સજા જાપાની કાયદા પાસે હતી તેનાથી તો બીજી એક પણ વધુ ભયંકર સજા ખુદ સેતાનના દરબારમાંયે ન સંભવે.

    પરંતુ, ના ! માતાનો આદેશ હતો કે “કોઈને ન મારતા, કંઇ ભાંગફોડ ન કરતા, આપણો સિદ્ધાંત નિર્મળ રાખજો, આપણા પક્ષમાં ધર્મ છે.”

    એ ધર્મને ખાતર,–નહિ કે હાથમાં શસ્ત્રો નહોતાં તે ખાતર–લોકોની મોખરે ઉભેલી મેદની જ્યાં જાપાની ઘોડેસ્વારોનાં સંગીનોથી વીંધાઈ જાય, ત્યાં પાછળ બીજું ટોળું “મા, મા,” કરતુ છાતી ધરી ઉભું રહે. બીજું ટોળું કપાઈ જાય, એટલે ત્રીજું તૈયાર ખડું હોય.

    પ્રભુની અદૃશ્ય ને શસ્ત્રહીન સેના જાણે ઝબકીને દેખાવા લાગે.

    એક દયાળુ પરદેશીએ એક કોરીયન કુમારિકાને રસ્તામાં ચેતાવી, “સાવધાન, ઝુમ્બેશમાં ભળીશ ના. લશ્કર ચાલ્યું આવે છે.” બાલિકાનું મ્હોં મલક્યું, પરદેશી સજ્જનનો આભાર માન્યો, ને “અમર રહો મા” પોકારતી ચાલી નીકળી.

    કાળાં આછાં નેણવાળી આ એશીયાની રમણીઓ ! જેની આંખોમાં સ્વપ્ન છવાયાં છે, જેનાં અંગેઅંગમાં સૌંદર્ય ઉભરાય છે, જેનાં તરૂણ હૈયાંની અંદર જુવાનીના મીઠા મનોરથો હીંચે છે. લીલી કુંજોમાં કે સાગરને કિનારે બેસીને પ્રીતિ કરવાની ઉમ્મર આવે ત્યાં તો બંદીખાનાનાં બારણાં દેખાય, સોલ્જરોનાં સંગીનો ઝબૂકે, દારાગાઓના ક્રુર હાથ એ રમ્ય શરીરને નગ્ન કરવા ધસી આવે ! પુરૂષ જાતને શું ખબર પડશે કે આ રમણીયોનાં બલિદાનનું કેટલું મૂલ ! એ નારીહૃદયનો હુતાશ કેવો ભડભડી રહ્યો હશે કોઈ નહિ–જગતમાં કોઈ નહિ જાણે.

    અને બાલકોનાં મનમાં શું શું થતું હતું ? છ વરસના એક બાલકે પોતાના બાપને કહ્યુ, “બાપુ, તમને જેલમાં ઉપાડી જશે ?”

    “ઉપાડી યે જાય” બાપે જવાબ દીધો.

    “જો ઉપાડી જાયને, તે તમે સહી કરશો મા, હો બાપુ !” બાલક જાણતો હતો કે કોઈ નિર્દોષ દેશબંધુની સામે કાવતરાં જગવવા જેલવાળા કંઇક કબૂલાત લખાવી લ્યે છે.

    થોડા રોજમાંજ બાપ બંદીખાને ઘસડાયો, પણ આખરે છુટ્યો. જ્યારે એ ઘેર આવ્યો, ત્યારે બાલકે પહેલવહેલું શું પૂછ્યું ?

    “બાપુ, તમે સહી નથી કરીને ?”

    “ના બેટા. મેં ક્યાંય સહી નથી કરી.”

    બાલક રાજી થયો.

    પણ આ લડતમાં ખેડુ ક્યાં ઉભો હતો ? એની લાગણી બતાવનારૂં એક દૃષ્ટાંત : એક નિર્દોષ જુવાન ખેડુને જાપાની સૈનિકે બંદુકથી વીંધી નાખ્યો. ગામના લોકોએ મારનારને પકડ્યો, ને એનો પ્રાણ લેવાની તૈયારી હતી, ત્યાં તો એ જુવાનનો વૃદ્ધ કાકો દોડતો આવ્યો, આડા હાથ દીધા, ને બોલ્યો, “છોડી મેલો, એના પ્રાણ લઈને જગતમાં ગુન્હો કાં વધારો ?” ઘવાયેલા ખેડુને લઈ બધા ઇસ્પીતાલે આવ્યા, એ બધાને જાપાની સોલ્જરે ગોળીથી, ને સંગીનથી વીંધી નાખ્યા.

    શહેરથી દૂર દૂર રહેનારો કોરીયન ખેડુ રાજ્યખટપટમાં ઉંડુ કંઈ યે ન જાણે એના માથામાં બીજી કશીયે વિદ્યા નથી, સ્વતંત્રતાનાં સૂક્ષ્મ રહસ્યો એણે નથી સાંભળ્યાં. પ્રભુ બુદ્ધે શીખવેલા પાંચજ જીવનસૂત્રો એ જાણે છે. પણ એના અંતરમાં ઝીણો ઝીણો એક અવાજ ઉઠેલો છે કે “મને વિચાર કરવાનો હક્ક છે, બોલવાનો હક્ક છે. રે ! મને બંદગી કરવાનો હક્ક છે.” આજ એણે જોયું કે એની બંદગીને જાપાની બંદુક અધવચ્ચેથી ઝડપી જાય છે. એ જાગ્યો. એણે જોયું કે “માતાનું નામ લઇશ તો નેવું ટકા પામીશ, પાછો વળીને હળ પણ નહિ ઝાલી શકુ ?” પણ એતો ઉપડે છે, ને ગોળીની વૃષ્ટિમાં મલકાતે મુખે ન્હાઈને લોહીથી તરબોળ થાય છે.

    અને ક્યાં ઉભો છે પેલો અમીર વર્ગ ? માતૃભૂમિનાં માનીતાં એ ધનુર્ધારી સંતાનોના લોહીમાં આજ કાંઈયે આતશ શું નથી ઉઠી ? એ વિચાર કરતાં તો યાદ આવે છે એક યશસ્વી નામ–યી–સેંગ–જય. લોર્ડકીચનરની સાથેજ એ જન્મેલો. પણ એની કમરે કદી તલવાર નથી લટકી. લાખો કોરીયાવાસીઓ એની હાકલ સાંભળીને હાજર થાય. જાપાની સરકારનાં કાળજાં એ વીરનું નામ સાંભળી થરથરી ઉઠે છે.

    જાપાની પોલીસે એક દિવસ એને ઘેર આવી પૂછ્યું, “આ તોફાનની પાછળ કોણ ઉભું છે તે કહેશો ?”

    “મને એ પૂછવાનું શું પ્રયોજન ?”

    “અમને લાગે છે કે તમને માલૂમ હશે.”

    “હા, મને માલૂમ છે. આ ઝુમ્બેશ ઉઠાવનાર મંડળીના પ્રમુખનું નામ પૂછો છો ને ?”

    “હા.”

    “વારૂ ! એનું નામ તો હું ખુશીથી કહીશ. એનું નામ સર્વશક્તિમાન પ્રભુ ! આ ઝુમ્બેશની પાછળ એ પોતે છે.”

    “સીધો જવાબ આપોને ! કયા મનુષ્યોએ આ હોળી જગાવી છે ? તમે જાણો છો ?”

    “હા, હા, હું એમાંના એકેએકને જાણું છું.”

    “બોલો, ત્યારે.” એમ કહી એણે ગજવામાંથી ડાયરી કાઢી.

    “લખો ત્યારે, ફુસનથી માંડીને સદા–શ્વેત પ્હાડો પર્વતનો, રે ! એની યે પેલી પાર સુધીનો પ્રત્યેક કોરીયાવાસી આ યુદ્ધની પાછળ ખડો છે.”

    યીના મુખ ઉપર ભયાનક કોપ છવાયો. જાપાનીઓથી એ પ્રતાપ ન સ્હેવાણો. ડાયરી ખીસ્સામાં મેલીને અમલદારો ચાલ્યા ગયા.

    એક અંગ્રેજ મુસાફર લખે છે:– “વીશ વરસની અમારી બન્નેની પિછાન દરમ્યાન મેં યીના મુખ ઉપર મધુર હાસ્ય સિવાય બીજું કશું નહોતું જોયું. ચાહે તેવી આફતમાં પણ એના મ્હોંમાંથી તો આનંદમય સખૂન જ ઝરે. પણ છેલ્લે હું એને મળ્યો ત્યારે એ સીત્તર વરસના વૃદ્ધની આંખોમાં આંસુ ઉભરાયાં. ગિરફતાર થવાના ડરથી એ રડતો હતો ? ના, ના. એ આંસુ ન્યારાં હતાં. એ બોલ્યો કે, “આ આફતને ટાણે. શુ મ્હોં લઇને હું બુઢ્ઢો બંદીખાનાની બ્હાર મ્હાલું છું ? હાયરે ! . અમારી કુમારિકાઓ ને યુવતીઓ આજ અમાનુષી જંગલીઓના પંજામાં પડી છે.”

    ચોથે દિવસે વૃદ્ધના પગમાં જંજીરો પડી.

    સીત્તેર વરસનો બુઢ્ઢો એ યી નહોતો રડતો, પણ એ તો ચાર હજાર વરસનો વૃદ્ધ એક દેશ રડતા હતા, કેમ ન રડે ? જાપાની સોલ્જરો રસ્તે ચુપચાપ ચાલી જતી રમણીયોના સ્તન ઉપર મુક્કા મારે, ગમ્મતને ખાતર બંદુકના કુંદા લગાવે, બંદીખાનાની કડકડતી ઠંડીમાં સ્ત્રી પુરૂષોને નગ્ન બનાવી દોડાવે, વસ્ત્રો ઉતારવાની કોઈ શરમાળ નારી ના પાડે તો ઝોંટીને એ વસ્ત્રો ને ચીરી નાખે—આવાં વીતકો ઉપર ન રડે એવો કોઈ દેશ છે ?

    અને અત્યાચારના આ આખા રાજ્ય દરમ્યાન કોઈ પણ કોરીયાવાસીએ મારપીટ કરી નથી. માત્ર એકજ અપવાદરૂપ બનાવ બની ગયો.

    જાહેરનામાને ચોથે દિવસે સીઉલ નગરની એક કોલેજમાંથી એક તરૂણ ચાલ્યો આવતો હતો. એણે શું જોયું ? શેરીની અંદર એક કોરીયન કુમારિકાનો ચોટલો ઝાલીને એક જાપાની–સોલજર નહિ, સિવીલીઅન–ઘસડતો હતો, ને મારતો હતો. એ બાલિકાનો ઘોર અપરાધ એટલોજ કે એણે “અમર રહો મા” ની બૂમ પાડેલી. જુવાન કાલેજીઅનને આ અત્યાચારે ઉશ્કેરી મૂક્યો. એને યાદ આવ્યા પેલા ત્રીશ નાયકોના ત્રણ ફરમાનો–પણ એનાથી રહેવાયું નહિ. એણે જોયું કે, સામે ઉભેલો અત્યાચારી કે અણસમજુ જંગલી લશ્કરી આદમી નહોતો, પણ ભણેલો ગણેલો સમજણો સિવીલીઅન હતો. કોરીયન જુવાન દોડ્યો, અત્યાચારીને એણે પકડ્યો, પટક્યો, ને પેટ ભરીને પીટ્યો. તેટલામાં તો સૈનિકો આવી પહોંચ્યા, એ વીર યુવાનના બન્ને હાથ કાપી લીધા, ને એને બંદીખાને ઉપાડી ગયા. બીજે દિવસે એક પાદરી આ યુવકના પિતા પાસે આવી આશ્વાસન દેવા લાગ્યો. આંસુભરી આંખે વૃદ્ધે જવાબ વાળ્યો, કે “મારા દીકરાના હાથ ગયા, પણ આવા કાર્યમાં કદાચ એના પ્રાણ જાય, તોયે મને દુઃખ નહિ થાય.

    આખી લડતની અંદર મારપીટનો આ એકજ અપવાદ !


    આવતા અંકેઃ પ્રકરણ ૧૧ મું. – અમેરિકાની દીલસોજી.


    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • તરફડી હું ગયો છું

    કૃષ્ણ દવે

    ઉદાસીની પાછળ પડી હું ગયો છું 
    રદિફને રવાડે ચડી હું ગયો છું 
     
    કસબથી કરામત કરૂં કાફિયાની 
    દડી થઈ ગમે ત્યાં દડી હું ગયો છું 
     
    લવિંગ્યાની માફક ફૂંટુ છું ફટાફટ્
    ઘણાં મંચ પર બડબડી હું ગયો છું 
     
    ફકત દાદ માટેનાં છે ધમપછાડા
    મળે અન્યને, તરફડી હું ગયો છું
     
    રમત સૌ રમાડે સિફતથી સભામાં 
    મને થાય કે આવડી હું ગયો છું 
     
    દુબારા દુબારા ની લાલચમાં લપસી
    બધી તાળીઓને જડી હું ગયો છું
     
    ભરી ઘૂંટ બે ગીતના માંડ પીધાં ને
    લયલીન થઈ લડખડી હું ગયો છું 
     
    દુર્બોધતા ઠાંસી ઠાંસી ભરૂ ને
    વિવેચન વિશે બાખડી હું ગયો છું 
     
    અમર થઈ જવાના અભરખા છે તેથી
    મહાકાવ્યને આભડી હું ગયો છું
     
    ઘણાં ખેલ પાડીને બેઠો ને થાતું 
    બધે કઇ રીતે પરવડી હું ગયો છું ?
     
    સેલીબ્રીટી થઈ જવાના ધખારે 
    મને પામવામાં નડી હું ગયો છું 
     
    સમજાયું બસ આટલું કે જીવનભર 
    ધૂમાડાની સામે‌ લડી હું ગયો છું 
     
    કવન એક સાચું ક્યાં સર્જી શકાયું ? 
    ને,બારાખડીમાં ખડી હું ગયો છું
  • વાદ્યવિશેષ (૪૧): તાલવાદ્યો (૬) – મૃદંગ

    ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    ઢોલ, ઢોલક, ઢોલકી અને નાળ જેવી જ રચના ધરાવતું આ તાલવાદ્ય ખાસ કરીને દક્ષિણ ભારતીય વિસ્તારોમાં પ્રચલિત છે. તેનો ઉપયોગ શાસ્ત્રીય ગાયન સાથે તાલ પૂરાવવા માટે તેમ જ સ્વતંત્ર તાલવાદન માટે પણ થાય છે. મોટા ભાગે ફણસના થડમાં પોલાણ કરી, બન્ને બાજુએ ખુલ્લા ભાગ ઉપર બકરી કે ઘેટા જેવા પ્રાણીનું ચામડું લગાડીને મૃદંગ બનાવવામાં આવે છે. ચામડાને બરાબર કસીને બાંધી રાખવા માટે બન્ને બાજુએ ચામડામાંથી બનાવાયેલી પાતળી પટ્ટી અથવા ઉપર જોઈ શકાય છે તેવી ધાતુની રચનાનો ઉપયોગ કરવામાં આવે છે.

    મૃદંગનો અવાજ તેની જેવી જ રચના ધરાવતાં અન્ય તાલવાદ્યો કરતાં અલગ પડે છે. એ સમજવા માટે મૃદંગવાદનની એક ક્લીપ સાંભળીએ.

    પહેલાં એક ભજનથી શરૂઆત કરીએ. એક જમાનામાં ‘ભજનસામ્રાજ્ઞી’ તરીકે સુખ્યાત એવાં જ્યુથીકા રોયના સ્વરમાં કમલ દાસગુપ્તાએ સ્વરબદ્ધ કરેલી એક રચના ‘પિયા ઈતની બિનતી સૂનો મોરી’ મૃદંગના બોલ ધરાવે છે.

    હવે હિન્દી ફિલ્મી ગીતોમાં મૃદંગવાદન સાંભળીએ.

    ૧૯૬૮ની ફિલ્મ પડોસનનું ગીત ‘એક ચતુર નાર બડી હોંશીયાર’ લાક્ષણિક દક્ષિણ ભારતીય લઢણમાં બન્યું છે. આ કારણથી તેની સાથે તાલવાદ્ય તરીકે મૃદંગનો ભરપૂર ઉપયોગ થયો છે. સંગીત રાહુલદેવ બર્મનનું છે. આ ફિલ્મમાં મહેમુદનું પાત્ર એક દક્ષિણ ભારતિય સંગીતશિક્ષકનું છે. આથી જ્યારે જ્યારે પરદા ઉપર મહેમુદ ગાય(પાર્શ્વગાન મન્ના ડેનું છે), ત્યારે ત્યારે સાથે મૃદંગના બોલ વાગે છે અને સુનિલ દત્ત વાળા ભાગ(જે કિશોરકુમારના અવાજમાં છે) સાથે તબલાંવાદન છે.

    ફિલ્મ તલાશ ૧૯૬૯ના વર્ષમાં પરદા ઉપર આવી હતી. સચીનદેવ બર્મનના સંગીતમાં બનેલું ગીત ‘તેરે નૈના તલાશ કરે જિસે’ મૃદંગના બોલ વડે સજેલું છે. પરદા ઉપર વિવિધ તાલવાદ્યો સાથે મૃદંગ પણ દૃષ્ટીગોચર થાય છે. વળી ચોક્કસ સમયે મૃદંગવાદન સ્પષ્ટ સાંભળી પણ શકાય છે.

    https://www.youtube.com/watch?v=yZlSFWds8UE&list=RDyZlSFWds8UE&start_radio=1

    હવે સાંભળીએ ૧૯૭૧ની ફિલ્મ બ્રહ્મા વિષ્ણુ મહેશ માટે સંગીતકાર એસ.એન.ત્રીપાઠીના નિર્દેશનમાં તૈયાર થયેલું મૃદંગપ્રધાન ગીત ‘સ્વામી તુમ હો સખા હો હમારે’.

    https://www.youtube.com/watch?v=1nZL_asxCHs&list=RD1nZL_asxCHs&start_radio=1

    ફિલ્મ એક દૂજે કે લીયે(૧૯૮૧)નું ગીત ‘હમ તુમ દોનોં જબ મીલ જાયેંગે’ માણીએ. લક્ષ્મીકાંત-પ્યારેલાલના નિર્દેશનમાં બનેલા આ ગીતમાં 2.12 થી 2.51 સુધી સતત મૃદંગવાદન કાને પડતું રહે છે.

    ૧૯૮૩ના વર્ષમાં રજૂ થયેલી ફિલ્મ કૂલી તેના શૂટીંગ દરમિયાન અમિતાભ બચ્ચનને થયેલી ઈજાને લઈને ખાસ્સી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મનું ગીત ‘લમ્બુજી લમ્બુજી, બોલો ઠીંગુજી’ સાંભળીએ. શરૂઆતમાં ખાસ્સા સમય સુધી પાશ્ચાત્ય તાલ પછી બીજા મધ્યાલાપ દરમિયાન મૃદંગના બોલ કાને પડે છે. વળી નાયક પારદા ઉપર મૃદંગ વગાડતો દેખાય છે.

    https://www.youtube.com/watch?v=cj-EnHwYfKc&list=RDcj-EnHwYfKc&start_radio=1

    ફિલ્મ સૂરસંગમ(૧૯૮૫) એક સંગીતપ્રધાન ફિલ્મ હતી. તેનું સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે તૈયાર કર્યું હતું. આ ફિલ્મના ગીત ‘ધન્યભાગ સેવા કા અવસર આયા’ માં મૃદંગના બોલ સ્પષ્ટ પારખી શકાય છે.

    ફિલ્મ રંગીલા (૧૯૯૫)નાં એ.આર. રહેમાને બનાવેલાં ગીતો આજે પણ ખાસ્સાં લોકપ્રિય બની રહ્યાં છે. તેનું મૃદંગના બોલ ધરાવતું ગીત ‘હાયે રામા યે ક્યા હુઆ’ માણીએ.

    ૨૦૦૯ની ફિલ્મ ગુલાલ માટે પીયૂષ મીશ્રાએ સંગીત તૈયાર કર્યું હતું. તેમણે જ ગાયેલું ગીત ‘આરંભ હૈ પ્રચંડ’ મૃદંગના તાલના સથવારે ચાલતું રહે છે.

    ૨૦૧૭ની સાલમાં પરદા ઉપર આવેલી એક ફિલ્મ મૃદંગ માટે રામવિજય ચંદ્ર અને ચૂનમૂન પંડીત નામના પ્રમાણમાં અલ્પજ્ઞાત સંગીતકારોએ ગીતો બનાવ્યાં હતાં. તે પૈકીના ગીત ‘મ્રીદંગ બાજે જબ કીસ્મત કા’સાથે તાલવાદ્ય તરીકે મૃદંગનો પ્રભાવક ઉપયોગ થયો છે.

    આ કડીની આખરમાં એક તમીળ ફિલ્મ વલ્લી(૨૦૧૭)નું ગીત ‘એનુલ્લે એનુલ્લે’ સાંભળીએ. દક્ષિણના સુખ્યાત સંગીતકાર ઈલિયારાજાએ ગીત સાથે મૃદંગના બોલનો પ્રયોગ કર્યો છે.


    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • આશા ભોસલેનું અન્ય સ્ત્રી ગાયિકા સાથેનું સૌ પ્રથમ યુગલ ગીત: ૧૯૪૯ – ૧૯૫૩

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    આશા (આશાલતા) ભોસલે (૮ સપ્ટેમ્બર, ૧૯૩૩ –  ૧૨ એપ્રિલ ૨૦૨૬) ની પાર્શ્વગાયનની કારકિર્દી તો દસ વર્ષનાં હતાં ત્યાંથી જ શરૂ થઈ ગયેલ. તેમણે ગાયેલું સર્વ પ્રથમ ગીત લતા મંગેશકર જેનાં મુખ્ય ગાયિકા હતાં એવું મરાઠી યુગલ / કોરસ ગીત ચલા ચલા નાવ બાલા (માંઝા બાલ, ૧૯૪૩ – ગીતકારઃ વી એસ ખાડેકર – સંગીતકારઃ દત્તા દાવજેકર) હતું. હિંદી ફિલ્મોમાં પણ તેમને સર્વ પ્રથમ તક ગીતા રોય (દત્ત) અને ઝોહરાબાઈ અમ્બાલેવાલી સાથે ‘ચુનરીઆ’ (૧૯૪૮)નું ત્રિપુટી ગીત સાવન આયા રે … જાગે મેરે ભાગ સખી રે (ગીતકારઃ મુલરાજ ભાખરી – સંગીતકારઃ હંસરાજ બહલ)માં મળી.

    હિંદી ફિલ્મ સંગીતની આશા ભોસલેની પાર્શ્વગાયનની કારકિર્દીમાં સ્ત્રી – સ્ત્રી ગીતોની જે કેડી ઉભરી આપણે કેડી પરનાં ગીતોની યાદ તાજી કરીને આશા ભોસલેને યાદાંજલિ આપીશું. પ્રસ્તુત શ્રેણીમાં આપણે હાલ પુરતાં આશા ભોસલેનાં સ્ત્રી-સ્ત્રી ત્રિપુટી / ત્રિપુટી+ ગીતોને નહી આવરી લઈએ.

    આશા ભોસલેનાં સ્ત્રી- સ્ત્રી યુગલ ગીતોની આ શ્રેણીની શરૂઆત આપણે  આશા ભોસલેએ અન્ય સ્ત્રી ગાયિકા સાથે ગાયેલાં સૌ પ્રથમ યુગલ ગીતની યાદી કરીને કરીશું.

    બાદલ ઘીર આયે, રિમઝિમ પાની બરસે – કરવટ (૧૯૪૯) – ગીતા દત્ત સાથે – ગીતકાર ઃ ડી એન મધોક – સંગીતઃ હંસરાજ બહલ

    બે સખીઓ પોતાના મનના ભાવ એકબીજી ને કહે એ ભાવનાં ગીતો સ્ત્રી સ્ત્રી યુગલ ગીતો માટે બહુ જ હાથવગો વિષય રહ્યો છે. તેમાં પછી વર્ષા ઋતુમાં પ્રેમી પાસે ન હોય તે સમયે દિલમાં જે ભાવ ઊઠે તે તો પોતાની સખી સિવાય બીજાં કોને કહેવા જવાય !

    રામ દુહાયી હાય રામ દુહાયી – નેકી ઔર બદી (૧૯૪૯) – રાજ કુમારી સાથે – ગીતકારઃ કિદાર શર્મા – સંગીતઃ રોશન

    ભારતીય નારીને તેનો પ્રેમી ફેશનપરસ્ત અંગ્રેજીમાં પોતાની વાત કરવાની ધુન રાખે તે કેમ પોષાય ? રાજકુમારી ફરિયાદી સખીનો સુર પુરાવે છે. આશા ભોસલેના ભાગે એ સખીના ‘ઢીઠ લંગુર‘ની ભુમિકા નિભાવતી સખી તરીકે હિંગ્લિશમાં ગોટપીટ ( ડીયર બટ વ્હાય, ઓ ડીયર બટ વ્હાય) ગાવાનું આવ્યું છે. આમ, ભાવ વૈવિધ્યની અનોખી રજૂઆત કરવાની તાલીમ આશા ભોસલેને શરૂઆતથી મળવા લાગી છે.

    બસ ઈતના બતા દો જિયેં યા મરેં – બહુરાની (૧૯૫૦) – શમશાદ બેગમ સાથે – ગીતકારઃ અઝીઝ સિદ્દીક઼ી – સંગીતઃ હંસરાજ બહલ

    આશા ભોસલે પોતાને ભાગે આવેલી પંક્તિઓને અલગ લય અને ભાવમાં ગાય છે.

    ધીરે ધીરે હાંક રે ગાડી ટીક ના સકેંગે મેરે નૈન ઉન રાહોં પે – સબક (૧૯૫૦) – સુરીંદર કૌર – ગીતકારઃ ડી એન મધોક – સંગીતઃ એ આર ક઼ુરેશી

    આશા ભોસલેને ભાગે ગીતમાં સાખીના બોલ ગાવાનું જ આવ્યું છેઃ

    દિન ગયા આ આઆ આ
    શામ આયી ઈઈઇ ઈઈઈ
    લેકર આયી તારોંકે પૈગામ
    કે જાગો દિલ વાલોં ઓ ઓ
    દિલોંકી ધડકન પર ઉલ્ફત
    ઉલ્ફત વાલોં

    સુરીંદર કૌર સાથે આશા ભોસલેનું આ એક માત્ર યુગલ ગીત છે.

    યે રૂકી રૂકી હવાયેં – દામન (૧૯૫૧) – લતા મંગેશકર – ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન – સંગીતઃ કે દત્તા

    લતા મંગેશકરના સ્વરમાં હતાશાની પીડા છે તેની સામે આશા ભોસલે તેની સખીને એ ભાવમાંથી બહાર આવવા, થોડા ઉંચા સુરમાં ગાઈને, સમજાવે છે. બન્ને વારા ફરતી એક એક કડી ગાય છે.

    કોઈ આનેવાલા હૈ તેરે ઘર કે દ્વાર સખી –  ઈશ્વર ભક્તિ (૧૯૫૧) – સુલોચના કદમ સાથે – ગીતકારઃપંડિત નરેન્દ્ર શર્મા – સંગીતઃ સોનિક ગીરધર

    સુલોચના કદમના સુર સાથે મેળ રહે એવા, થોડા નીચા – ઘેરા – સુરમાં ગાવાની પણ આશા ભોસલેની બહુ જ શરૂથી તક મળી છે.

    જવાનીકે દીન ગીત ગાને કે દીન – કાશ્મીર (૧૯૫૧) – પ્રમોદીની દેસાઈ સાથે – ગીતકારઃ શર્શાર સૈલાની  – સંગીતઃ હંસરાજ બહલ

    આશા ભોસલેને હવે સહગાયિકાની બરાબરીની કક્ષાની ગાવામાં સુધી સક્ષમ સ્થાન મળવા લાગ્યું હોય એવું જણાય છે.

    સમજ઼ ના દુનિયાકો ઘર ખુશીકા યહાં પે ઠોકર કદમ કદમ પે હૈ  – આગ કા દરિયા (૧૯૫૩) – લક્ષ્મી રોય[1] સાથે – ગીતકારઃ અઝીઝ કશ્મીરી – સંગીતઃ વિનોદ

    મુખ્ય ગાયિકા તરીકે આશા ભોસલેને સાથ મળવા લાગ્યું એ ફિલ્મો પૈકી આ પણ એક ફિલ્મ ગણી શકાય. આ ફિલ્મનાં ૧૧ ગીતો પૈકી ૭ ગીતો આશા ભોસલેએ ગાયાં છે.

    આ ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક રૂપ કે શોરીની જ આ પહેલાંની ફિલ્મ ‘એક થી લડકી’ (૧૯૪૯),  જેમાં પણ હીરોઈનની ભુમિકામાં મીના શોરી જ હતાં, મુખ્ય ગાયિકા તરીકે સંગીતકાર વિનોદે લતા મંગેશકરને લીધેલાં.

    ભૂલ ગયી સુધ બુધ તન કી મન કી – નૈના (૧૯૫૩) – આશિમા બેનર્જી સાથે – ગીતકારઃ ઉદ્ધવ કુમાર – સંગીતઃ મન્ના ડે

    સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોના પ્રકારમાં આશા ભોસલેની આવી રહેલ ફાવટ અહીં કળી શકાય છે.

    આશિમા બેનર્જી સાથે આશા ભોસલેનું આ એક માત્ર યુગલ ગીત છે.

    આયી હૈ દરબાર …. દો દેશ દુલારે વીરોંકા – રાજમહલ (૧૯૫૩) – સાવિત્રી સાથે – ગીતકારઃ મુંશી દિલ – સંગીતઃ પંડિત ગોવિંદરામ

    અહીં આશા ભોસલે અને તેમનાં સહગાયક એકસાથે ગીત ગાય છે. બીજાં ગાયક સાથે આખું ગીત એક સાથે ગાવું એ બહુ આગવું કૌશલ્ય માગી લે છે.

    સ્વાભાવિક છે કે આશા ભોસલેની કારકિર્દીના તબક્કાનાં ગીતો આપણે ખાસ સાંભળ્યાં ન હોય; એટલે આપણે અહીં વિરામ લઈએ કે જેથી આ ગીતોને સારી તે મમળાવી શકાય.


    [1] તેમના Atul’s Song a Day પરના લેખ Dekho Ree Sakhee Rang Bharee Holee Aayee માં શ્રી અરૂણ કુમાર દેશમુખે ચોખવટ કરી છે કે લક્ષ્મી રોય ગીતા રોય (દત્ત)ની નાની બહેન છે. જ્યારે ભેડ (૧૯૫૦)માં મુકુલ રોયને સ્વતંત્ર સંગીત માટે તક મળી ત્યારે તેમણે લક્ષ્મી રોયને પણ તક આપી. જોકે લક્ષ્મી રોય એટલાં સારા ગાયક ન નીવડ્યાં. એટલે તેમને થોડી વધારે તકો મળી પણ કંઈ લાંબો ગજ વાગ્યો નહીં. ચિત્રગુપ્તે ભકત પુરણ (૧૯૫૨)માં એક, નયા રાસ્તા (૧૯૫૩ં) બે, વિનોદે આગ કા દરિયા (૯૧૫૩)માં એક અને એસ એન ત્રિપાઠીએ નવ દુર્ગા (૧૯૫૩) બે ગીતો લક્ષ્મી રોયને આપ્યાં, છેલ્લે, શૈલાબ (૧૫૬)માં મુકુલ રોયે એક ગીત આપ્યું.

  • જૂનું પણ સોનું, નવું પણ સોનું

    ધિક્કારનાં ગીતો

    સારપ અને ખરાબી અગાઉ પણ હતાં અને આજે પણ છે. જૂનું બધું ઉત્તમ હતું એવો દાવો ન કરી શકાય.

    દીપક સોલિયા

    હવે પહેલાં જેવું નથી રહ્યું… આવો નિઃસાસો કોઈ વૃદ્ધ નાખે તો સમજી શકાય, પણ જુવાનજોધ નારી આવું કહે ત્યારે સહેજ નવાઈ લાગે.

    ફિલ્મ ‘દાગ’ના ગીત ‘જબ ભી જી ચાહે નઈ દુનિયા બસા લેતે હૈ લોગ’માં જુવાન નાયિકા, ગીતકાર સાહિર લુધિયાનવીના શબ્દોમાં, કોઈ વૃદ્ધાની જેમ ગાય છેઃ યાદ રહતા હૈ કિસે ગુઝરે ઝમાને કા ચલન; સર્દ પડ જાતી હૈ ચાહત, હાર જાતી હૈ લગન; અબ મહોબ્બત ભી હૈ ક્યા એક તિજારત કે સિવા; હમ હી નાદાં થે જો ઓઢા બીતી યાદોં કા કફન; વર્ના જીને કે લિએ સબ કુછ ભૂલા લેતે હૈં લોગ.

    સમય જતાં પ્રેમ ઠરી જાય (સર્દ પડ જાતી હૈ ચાહત) અને ઉત્સાહ મોળો પડી જાય છે (હાર જાતી હૈ લગન) એવું ફક્ત આજે જ નહીં, અગાઉના જમાનામાં પણ જોવા મળતું. કુદરતનો અને વિજ્ઞાનનો નિયમ છે કે અતિ ઉત્તેજિત સ્થિતિ કાયમ ટકી શકે નહીં, ઉડેલું વિમાન કાયમ હવામાં તરી શકે નહીં. જુવાનીનો જોશીલો પ્રેમ પછી વાસ્તવની ધરતી પર લેન્ડિંગ કરીને ઠરેલ બનવાનો જ. એટલે પ્રેમ થોડો ટાઢો પડે, વાજબી બને એમાં કશું ખોટું નથી.

    નાયિકા કહે છે કે હવે તો પ્રેમના નામે ફક્ત વેપાર થાય છે (અબ મહોબ્બત ભી હૈ ક્યા ઇક તિજારત – વ્યવસાય- કે સિવા), પ્રેમ હવે પ્રોફેશનલ બની ગયો છે. કમ ઓન, ખુલ્લી આંખે, સમજપૂર્વક બંધાતા પ્રેમસંબંધો અને લગ્નસંબંધોમાં અગાઉ પણ સામેના પક્ષનું ખાનદાન જોવાતું, આવક જોવાતી, મિલકત જોવાતી. આવી બધી ‘વ્યાવસાયિક તકેદારી’ કંઈ આજની જ વાત નથી. ટૂંકમાં અસ્સલના જમાનામાં જ અસ્સલ પ્રેમ થતો અને હવે ફક્ત વ્યાપારી પ્રેમ થાય છે એવો દાવો ખોટો છે. પ્રેમ પ્રેમ છે. એ પહેલાં પણ થતો, આજે પણ થાય છે. પ્રેમમાં નાદાની અગાઉ પણ જોવા મળતી, આજે પણ જોવા મળે છે. હા, એટલો ફરક પડ્યો છે કે હવે પ્રેમીઓને ઓનલાઈન એપની મદદથી શોધી શકાય છે. અગાઉ આટલી સુવિધા નહોતી. આ સુવિધાથી કેટલાકને સારાં પાત્ર મળી પણ રહે છે અને ઘણાં ભેરવાઈ પણ પડે છે. સરવાળે, રૂબરૂ મળ્યા વિના ઓનલાઈન ચેટિંગ અને ફોટો-વીડિયોની આપલેથી પ્રેમમાં પડવામાં ફાયદા કરતાં જોખમ વધુ છે એટલું ખરું, બાકી નવો જમાનો ખરાબ છે, નવી પેઢી ખરાબ છે, પહેલાં બધું બહુ જ મસ્ત હતું… આવી બધી વાતો તો હજારો વર્ષથી ચાલતી રહી છે અને ચાલતી રહેશે. એમાં ઝાઝો દમ નથી.

    હા, નાયિકાની એ વાતમાં દમ છે કે સ્મૃતિઓમાં જીવવા બદલ તે પોતાને નાદાન ગણાવે છે. હમ હી નાદાં થે જો ઓઢા બીતી યાદોં કા કફન. જે ફક્ત સ્મૃતિઓમાં જ જીવે છે તે નાદાન જ ગણાય. કરેક્ટ.

    બાકી સ્મૃતિ પોતે ખરાબ નથી. એ તો મગજનો આધાર છે. સ્મૃતિના જોરે જ તો આપણે કામની ચીજો યાદ રાખી શકીએ છીએ. છેક નાનપણમાં શીખેલું ગણિત –બે ને બે ચાર થાય- જીવનભર ઉપયોગી સાબિત થાય છે. સ્મૃતિ એ સાંસારિક જીવનનો પાયો છે. સ્મૃતિ વિના આપણું ગાડું સાવ જ અટકી પડે.

    સામે પક્ષે, સ્મૃતિ જેટલી જ મહત્ત્વની ચીજ છે વર્તમાન વાસ્તવિકતા. વર્તમાન જીવંત ચીજ છે, એ ધબકે છે, આપણે જીવવાનું વર્તમાનમાં જ છે અને વર્તમાન જીવનમાં જ્યાં જ્યાં જરૂરી લાગે ત્યાં સ્મૃતિનો ઉપયોગ કરવાનો છે. બાકી વર્તમાન સામે આંખ આડા કાન કરીને ફક્ત સ્મૃતિવનમાં જ આંટાફેરા કરતાં રહેવું એ તો નિર્ભેળ નાદાની જ છે અને નાયિકા એ વાત સ્વીકારે છેઃ હું જ નાદાન છું કે જૂની યાદોનું કફન ઓઢીને બેઠી છું, બાકી લોકો તો જીવવા માટે બધું જ ભૂલી જાય છે.

    જોકે અહીં નાયિકાનો ટોન લોકોની ટીકા કરનારો છે. લોકો તો કેવાં હોય છે? લોકો તો જૂની બધું ભૂલીને આગળ વધી જાય છે. પણ સવાલ એ છે કે આમાં ટોણો મારવા જેવું શું છે? જૂનું ભૂલીને આગળ વધવામાં ખોટું શું છે? જૂની વસ્તુ ચાહે પ્રેમ હોય કે દ્વેષ, એને પાછળ છોડીને આગળ વધવામાં જ સાર છે.

    ભૂતકાળના બોજ હેઠળ કચડાઈ મરવાનો કોઈ મતલબ નથી. આ બાબતે બાળકોને ગુરુ બનાવવા જેવા છે. બાળકો ભાષાથી માંડીને બીજી અસંખ્ય બાબતો અત્યંત ઝડપથી શીખી શકે છે તેની પાછળનું એક મહત્ત્વનું કારણ એ છે કે એ ભૂલવા જેવી ક્ષુલ્લક-નકામી વાતો તરત ભૂલી જાય છે. મમ્મીએ એક થપ્પડ મારી હોય તેને લીધે રડી રહેલું બાળક પછી એ જ મમ્મી દ્વારા ચોકલેટ ધરવામાં આવે ત્યારે રાજી થઈને મમ્મીને વળગી પડે છે. ત્યારે તે એ યાદ નથી રાખતું કે હજુ તો બે જ મિનિટ પહેલાં મમ્મીએ તમાચો મારેલો. જો બીત ગઈ સો બાત ગઈ… આ સિદ્ધાંતના સૌથી ચુસ્ત અનુયાયી એવાં બાળકો શું નિર્દોષ નથી હોતા? પ્યારાં નથી હોતાં? હોય જ છે. માટે, ‘જીને કે લિયે સબ કુછ ભૂલા લેતે હૈં લોગ’ એ બાબત પણ સારી જ છે, પ્યારી જ છે.

    એક નાનકડી આડ વાત.

    માણસ ક્યારેય ‘સબ કુછ’ ભૂલી નથી શકતો. એ અશક્ય છે. ભૂતકાળને પૂરેપૂરો ક્યારેય ભૂલી નથી શકાતો. એ થોડો તો યાદ રહે જ છે. જીવવા માટે લોકો બધેબધું ભૂલી જાય છે એવો નાયિકાનો દાવો પૂરેપૂરો ખોટો છે.

    નાયિકા અહીં જ નથી અટકતી. એનો પુરુષદ્વેષ હજુ પૂરેપૂરો વ્યક્ત નથી થયો (આપણી આ શ્રેણી ગીતો દ્વારા સ્ત્રી-પુરુષો કઈ રીતે એકમેક સામે દ્વેષ વ્યક્ત કરે છે તે વિશેની છે).

    નાયિકા આ ગીતમાં પોતાની ફરિયાદ કઈ રીતે આગળ વધારે છે તેની વાત આવતા લેખમાં.


    (ક્રમશઃ)


    શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com

  • વીજળી

    લતા હિરાણી

    વીજળીને ક્યાંય ચેન નહોતું.

    કેટલાય મહિનાઓ થયા, એ સાવ ઘરમાં બેસી રહી હતી. આકાશે એને મનાઈ ફરમાવી હતી, તારે ચમકવાનું નહીં. બેસી રહેવું કોઈને ક્યાંથી ગમે ?

    એ વાદળ પાસે ગઈ.

    ‘વાદળભાઈ, વાદળભાઈ, મારી વાત સાંભળો ને!’

    ‘શું છે બોલ!’

    ‘આમ નવરી બેસી બેસીને હું થાકી ગઈ છું. મને ચમકારા કરવા દો ને !’

    ‘મને ખબર છે, આકાશદાદાએ તને ના પાડી છે. તું ચમકે એનો વાંધો નથી પણ પછી તું ગેલમાં આવી જાય છે. કોઈ મકાન પર કૂદકો મારી દે છે તો માણસો મરી જાય છે. પશુ-પંખી મરી જાય છે. એમ કેમ ચાલે ?’

    ‘પણ હું પ્રોમિસ આપું છું. ખાલી ચમકારા જ કરીશ. ક્યાંય કોઈના ઉપર નહીં પડું બસ!’

    ‘આમાં મારું કંઈ ન ચાલે. આકાશદાદાનો હુકમ એટલે હુકમ એ માનવો જ પડે’.

    વીજળી નિરાશ થઈ ગઈ. એને ચાંદામામા યાદ આવ્યા. આકાશદાદા ચાંદામામાનું તો જરૂર સાંભળે. દોડતી દોડતી એ ચાંદામામા પાસે ગઈ.

    ચાંદામામાએ શાંતિથી એની ફરિયાદ સાંભળી. પછી કહે,

    ‘જો બેટા, આપણું મોટું કુટુંબ છે. આકાશદાદા આપણા કુટુંબના વડા છે. એ જે કહે એ સમજી વિચારીને જ કહે. બધા એનું કહ્યું માને છે. હું પણ એમની વાત માનીને ચાલુ છું. જો કદી દિવસે દેખાઉં છું ?’

    ‘તો મારે શું કરવું?’ વીજળી રડી પડી.

    ચાંદામામા એ વીજળીને ખોળામાં બેસાડી. એના આંસુ લૂછ્યાં. ખૂબ વ્હાલ કર્યુ. પછી એને એક રસ્તો સૂઝયો.

    ‘તું એમ કર, તારલિયાઓ પાસે જા. આકાશદાદાને નાનાં બાળકો બહુ વહાલાં છે. એ બાળકોની વાત જરૂર સાંભળશે.’

    વીજળી ખુશ ખુશ થઈ ગઈ. ‘થેન્ક્યુ ચાંદામામા’ કહેતી એ ફટાફટ ભાગી. હજી તો રાત હતી તો તારા મળી જાય. પછી સવારે તો બધાં ગુમ થઇ જાય, એ પહેલા કોઈ તારલાને મનાવી લઉં.

    એ દોડવા લાગી. ઝબુક તારો એને સામે મળ્યો. વીજળીનું ઉતાવળમાં ધ્યાન પણ ન પડ્યું.

    ‘અરે વીજળીદીદી, ક્યાં દોડો છો?’

    ‘હાશ મળી ગયો…’ કહેતાં વીજળી અટકી.

    ‘શું મળી ગયો?’ ઝબુક બોલ્યો.

    ‘હાશ, તું મળી ગયો! હું તને જ શોધતી હતી…’ વીજળી એ કહ્યું

    એ ઝબુક તારાની પાસે હાંફતી હાંફતી બેસી ગઈ. ઝબુક તારાએ એને પાણીનો ગ્લાસ આપ્યો. પાણી પીધા પછી એનો શ્વાસ બેઠો. પછી વીજળી કહે,

    ‘ઝબુક, મારા નાનકડા ભઈલા, તું મારું એક કામ ન કરે!’

    એમ કહીને વીજળીએ પોતાની બધી મુસીબત કહી. ઝબુક તારો વિચારમાં પડ્યો વીજળીદીદીની વાત તો સાચી છે. નવરા બેસીને તો કંટાળી જવાય પણ આકાશદાદાને મનાવવા કેમ?

    ઝબૂક તારો કહે, ‘એમ કર વીજળીદીદી,  રાત્રે આકાશદાદા પાસે હું વાર્તા સાંભળવા જઈશ ત્યારે કંઈક આઈડિયા લગાવીશ. એ મને ના નહીં પાડે.’

    વીજળી ખુશ થઈ ચાલી ગઈ. એ રાત્રે ઝબુક તારો આકાશદાદા પાસે પહોંચ્યો. બધા તારા શોરબકોર કરતા હતા. ઝબૂકતારો કૂદીને આકાશદાદાના ખોળામાં બેસી ગયો અને આકાશદાદાની લાંબી દાઢી પર હાથ ફેરવતો બોલ્યો,

    ‘દાદાજી હું તમને વ્હાલો છું ને!

    ‘કેમ વળી, આજે કંઈ ફરી ચોકલેટ ખાવી છે? આકાશ દાદા બોલ્યા.

    ‘ના દાદા ચોકલેટ નથી ખાવી પણ બીજું કંઈક જોઈએ છે. તમે મને પ્રોમિસ આપો કે હું માંગુ એ તમે આપશો જ.’

    ‘તારે તારા માટે કંઈ માંગવું છે?’

    ‘ના દાદા, મારે બીજા કોઈ માટે માંગવું છે.’

    આકાશદાદા ખુશ થયા.

    ‘જે બીજાં માટે માગે છે એને હું હંમેશા આપું છું. મને એવા બાળકો બહુ ગમે છે, જે બીજાનો વિચાર કરે છે અને બીજાને મદદ કરે છે.

    ટપ કરતો ઝબુકતારો દાદાના ખોળામાંથી ઉતરી ટટ્ટાર ઊભો રહી ગયો.

    ‘દાદાજી, વીજળીદીદી બહુ કંટાળી ગઈ છે. એ રડે છે. ખાલી ખાલી બેસીને થાકી ગઈ છે. એને કંઈક કામ કરવા દો ને!’

    આકાશદાદાએ થોડીવાર વિચાર્યું. પછી કહે, ‘તું કહે છે તો ઠીક છે. બોલાવ વીજળીને.’

    વીજળી દોડતી દોડતી આવી.

    આકાશદાદાએ પૂછ્યું, ‘તારે ચમકવું છે ને? જો હું તને બીજા સ્વરૂપે પૃથ્વી પર મોકલું છું. તું ચમક્યા કરજે અને બાળકોને આનંદ આપજે.

    બીજી જ પળે વીજળીમાંથી કેટલા બધા આગિયા બની ગયા!

    ત્યાં બેઠેલાં બધાં બાળકો આનંદથી નાચી ઉઠ્યાં.