વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • મારું ખોવાણું રે સપનુ

    ગની દહીંવાલા

    મારું ખોવાણું રે સપનું,
    ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું … મારું ખોવાણું રે સપનું.

    પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
    વગડા કે’છે ચોર આ વસતિ, પર્વત કે’છે સાગર,
    ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું … મારું ખોવાણું રે સપનું.

    વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
    અણુ અણુ સાંભળજો મારા સમણાની એંધાણી;
    તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું … મારું ખોવાણું રે સપનું.

    ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
    જીવનની જંજાળો સઘળી સૂતી પાંપણ ઢાળી;
    નીંદરના પગથારે કોઈ આવ્યું છાનું છપનું … મારું ખોવાણું રે સપનું.  

      :આસ્વાદઃ

    દેવિકા ધ્રુવ

    ૧૯૦૮માં સુરતમાં જન્મેલ શ્રી ગની દહીંવાલા આમ તો ગઝલકાર તરીકે ખૂબ પંકાયા છે. પણ તેમણે ખૂબ સુંદર ગીતો અને મુક્તકો પણ લખ્યા છે.

    ‘મારું ખોવાણું રે સપનું ’ એ વાંચતાં જ ગમી જાય અને ગાતાં જવાય એવું મઝાનું ગીત છે. કશુંક ખોવાવાની વાત તો દુઃખની કહેવાય. એને મઝાની તો કેમ કહેવાય? પણ આ ગીતમાં ખોવાયેલને શોધવાની જે રીતો છે તે ખૂબ મઝાની છે. ક્યાંયે કોઈ વસ્તુ કે વ્યક્તિ ખોવાયાની વાત જ નથી આવતી. તો પછી દિલને હરી લેતા આ ગીતમાં એવું તે શું છે?

    ગીતનું શીર્ષક અને એની ધ્રુવપંક્તિ એક ખોવાયેલા સ્વપનની પહેલેથી જ સ્પષ્ટપણે જાહેરાત કરી દે છે પણ એ સ્વપ્ન શેનું હતું? કોનું હતું? એમાં શું ખોવાઈ ગયું? આ બધા પ્રશ્નો સીધેસીધા વાચક પર છોડી દઈ સિફતપૂર્વક કવિ એને શોધવામાં પડી જાય છે; એમ કહીને કે “તમને જડે તો આપી દેજો. કારણ કે, એ બીજા કોઈને કામનું નથી!” વાહ..કવિ..સપનું ખોવાયાની વાતમાં હકીકતે શું ખોવાયું છે તે કહેવાની તમા રાખ્યા વગર એ તો ઉતાવળે ઉતાવળે લાગી જાય છે એની શોધમાં. એમને ખબર છે, અરે પૂરી ખાત્રી છે કે એ બીજા કોઈને કશા ઉપયોગમાં આવે તેમ છે જ નહિ. પોતે જાતે શોધવાનું છે. આ પ્રથમ બે પંક્તિઓમાં જ એક ચિત્ર ઊભું કરી દીધું છે. એટલું જ નહિ આ કોઈ અનન્યની શોધ કરવાની છે એનો પણ સંકેત મળી જાય છે. એટલે એ માનવજાતને બદલે સીધા કુદરત તરફ ધસી જાય છે.

    પ્રથમ અંતરામાં સૌથી પ્રથમ જેનું સપનું ખોવાયું છે તે પહોંચે છે ચારે દિશાઓ તરફ. પૂર્વ દિશાને પૂછે છે તો એ જવાબ આપે છે કે, “મારી પાસે નથી. પશ્ચિમે ચોરી લીધું હશે.” તસ્કર શબ્દ પણ કેવો સહેતુક પ્રયોજાયો છે! અહીં ધાર્યું હોત તો સીધો ‘ચોર’ શબ્દ વાપરી શકાયો હોત. પરંતુ તસ્કરના ઘણાં અર્થોમાંનો એક અર્થ એ પણ છે કે, માણસના પગરવથી સંકોચાઈ જતું એક ઝાડ. અહીં અચાનક ભાવકચિત્તમાં અધ્યાત્મની જાણે વિચારદીવડી પ્રગટી જાય છે. ઉચિત શબ્દપ્રોગ એ એક સિદ્ધહસ્ત કવિની કલાત્મકતા છે. આગળ જતાં એ દક્ષિણ દિશાને પૂછે છે તો એ વળી ઉત્તર તરફ આંગળી ચીંધે છે. વગડાઓ વસ્તીને ચોર ઠરાવે છે, પર્વત સાગરનું નામ દઈ છટકી જાય છે અને ધરતી પણ આભનું નામ દે છે! આમ, એકબીજાં તરફ આક્ષેપો કરાતી ચારે દિશાઓનું કેવું સર્વકાલીન ચિત્ર ઊભું થાય છે? અને શોધક પોતાનું  સપનું ખોવાયાની રટણ કરતો દોડ્યે જ જાય છે.

    પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
    વગડા કે’છે ચોર આ વસતિ, પર્વત કે’છે સાગર,
    ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું … મારું ખોવાણું રે સપનું.

    હવે શું કરવું ? એવી વિમાસણમાં એ મૂંઝાઈ જાય છે. એને અપાર પીડા થાય છે. ડૂબતો માણસ તરણું શોધે એ રીતે એ જડ વસ્તુઓને પૂછે છે, ચેતન પ્રકૃતિની એકએક વસ્તુઓને પૂછે છે. પૂ્છતો જાય છે અને મદદ પણ માગતો જાય છે. અણુએ અણુને કહે છે કે, તમે જરા જુઓને! એ સપનું સામાન્ય નથી. ખૂબ પ્રકાશ પાથરનારું છે. તેમાં તેજના અંબાર ભર્યા પડ્યા છે. એ જરાયે ઝાંખું નથી હોં. શક્ય તેટલું વર્ણન કરી વીનવે છે,આજીજી કરે છે કે મને મારું ખોવાયેલું સપનું પાછું મેળવી આપો. અહીં શબ્દે શબ્દમાં આર્જવભરી ઋજુતા છે, પામવાની ઝંખના છે, એક અંતરમાંથી ઊઠેલી સાચી તરસ છે.

    “અણુ અણુ સાંભળજો મારા સમણાની એંધાણી” આ ક્યા પ્રકારનું સપનું હશે? કેવી રીતે અને શેનું  સપનું આવ્યું હશે? અને અધૂરા સ્વપ્ને જ આંખ ખુલી હશે? તો ફરીથી સપનું આવશે. એમાં શોધવાનું હોય કાંઈ? આવા કંઈ કેટલાયે સવાલો અને જીજ્ઞાસા ભાવકચિત્તમાં ઉઠ્યાં વગર રહેતાં નથી. ખરી ખૂબી તો એના જવાબો શોધવામાં છે ને? કદાચ કવિને મન એમાં જ વધુ રસ છે અને એ જ અભિપ્રેત પણ હશે.

    હવે એક વાર્તાકારની અદાએ, ત્રીજા અને છેલ્લા અંતરામાં ખોવાયાના ખુલાસાઓ કરતાં કવિ કહે છે કે, એક કાળી રાત હતી. જગત આખું ઊંઘી ગયું હતું. સૌના જીવનમાં ચાલતી રહેતી જંજાળોની માયાજાળ પણ આંખોની પાંપણો ઢળવાથી સૂઈ ગઈ હતી. બધે જ જાણે કાળી શાહી પથરાયેલી હતી. એવા સમયે છાનામાના નીંદરમાં કોઈ આવ્યું. રૂપરૂપનો અંબાર હતો. એ પ્રકાશપુંજ પકડાયો નહિ. બસ, કશુંક સુંદર સરી ગયું હતું. મળી મળીને ખોવાઈ ગયું હતું.

    ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
    જીવનની જંજાળો સઘળી સૂતી પાંપણ ઢાળી;
    નીંદરના પગથારે કોઈ આવ્યું છાનું છપનું … મારું ખોવાણું રે સપનું.

    લાગે છે સાવ સાદી સીધી એક સપનાની વાત. પણ શું ખરેખર એમ હતું? માણસમાત્રની જીંદગીમાં એવી સોનેરી સપના જેવી તકો આવે છે, એવી ક્ષણો આવે છે જેને  સાચી રીતે ઝીલી ન શકો તો એ સરી જાય છે. પછીથી એને ગમે તેટલી શોધવા મથો પણ એ કદી પાછી આવતી જ નથી. સુખ-દુઃખ, આધિ -વ્યાધિ વગેરે દ્વંદ્વો તો દરેકના જીવનમાં સતત આવતાં રહેતાં જ હોય છે. પણ એ્ની વચ્ચે પણ, એવે વખતે એકમેકની સામે દોષારોપણ કરવાને બદલે, આક્ષેપોભરી આંગળીઓ બતાવ્યા વગર વિવેકબુદ્ધિથી સાચો રાહ પકડી, તકની ક્ષણોને ઝડપી લેવાથી સપનાઓ સરી જતાં નથી. પછી એને શોધવાની દોટ મૂકવી પડતી નથી એવો ગર્ભિત સંદેશો આપતી આ કવિતા મનમાં કાયમી છાપ મૂકી જાય છે.

    ત્રણ નાના અંતરામાં મઢાયેલા આ ગીતમાં સુંદર લય છે, પ્રાસાનુપ્રાસ છે, વાર્તાકારની જેમ વાર્તાવસ્તુ છે, ચિત્રકારની જેમ આબેહૂબ શાબ્દિક ચિત્રો છે, કુશળ નાટ્યકાર જેવાં સંવાદોની લાઘવતાભરી ઝલક છે, માનવ અને પ્રકૃતિ બંને સમાવિષ્ટ છે, જીવનની ફિલસૂફી છે તો તાત્ત્વિક્તાની ગર્ભિત છાંટ પણ છે.

    “તમારા આજ અહીં પગલા થવાનાં..દિવસો જુદાઈના જાય છે..અને ગુજરાત મારો બાગ છે..” જેવી અફલાતૂન ગઝલોના રચયિતા ગનીભાઈ આમ તો માત્ર ત્રણ ધોરણ જ ભણેલા હતા પણ તેમની ભીતરી સંવેદના અને અભિવ્યક્તિની કલામાં પીએચડી.નો પ્રભાવ હતો.

    ઉપરોક્ત ગીત ગેય હોવાથી સ્વરબદ્ધ થયેલ છે અને એકથી વધુ ગાયકોના સૂરમાં હજી પણ ગૂંજે છે.

    આ સશક્ત કલમને નમન.


    Devika Dhruva –  ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

  • એ પુસ્તક જે વાંચીને ડો.આંબેડકર ચોધાર આંસુએ રડ્યા હતા

    નિસબત

    ચંદુ મહેરિયા

    ફ્રાંસના વિખ્યાત નવલકથાકાર, કવિ અને રાજનીતિજ્ઞ વિકટર હ્યૂગો( જન્મ- ૨૬ ફેબ્રુઆરી ૧૮૦૨, અવસાન- ૨૨ મે-૧૮૮૫) ની અજોડ નવલકથા ‘ લે મિઝેરાબ્લ’[1]  દોઢસો કરતાં વધુ વરસો પહેલાં (૧૮૬૨) પ્રકાશિત થઈ હતી. હ્યૂગોના શબ્દોમાં,  ” અજ્ઞાન અને દારિદ્રય આ પૃથ્વી ઉપર જ્યાં લગી કાયમ હશે,  ત્યાં લગી આ જાતનાં પુસ્તકો હરગિઝ નિરુપયોગી નહીં બને”  બાબાસાહેબ ડો.આંબેડકર જે ત્રણ પુસ્તકો વાંચીને ચોધાર આંસુએ રડેલા તેમાંનું એક ‘ લે મિઝેરાબ્લ’  હતું. ફ્રેન્ચ શબ્દ ‘ લે મિઝેરાબ્લ’નો અર્થ દુ:ખ, દરિદ્ર, ગરીબ, કંગાળ, ચીંથરેહાલ, પીડિત એવો થાય છે. ૧૯૪૭માં આ નવલકથાનો પ્રથમ ગુજરાતી અનુવાદ પ્રગટ થયો હતો. જે સિલસિલો આજે પણ ચાલુ છે. હ્યૂગોની આ કાલજયી નવલના વિવિધ ગુજરાતી અનુવાદોના નામો પણ રસપ્રદ છે: દુખિયારા, ગુનો અને ગરીબાઈ,  ગુનેગાર..! તથા દરિદ્રનારાયણ.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    આ પ્રશિષ્ઠ કૃતિ જીન વાલજીનના પ્રમુખપાત્રના ખભે ઊભી છે. એ ઉપરાંતના ૬૩ જેટલાં પાત્રો, અનેક સ્થળો અને ઉપકથાઓમાં ગૂંથાયેલી આ નવલકથામાં કથારસ બરાબર જળવાય છે. ‘ ડી. પરગણાના બિશપ’ ના પ્રથમ પ્રકરણથી આરંભાતી અને ‘ આટલું બધું  અજવાળું શાનું?’ ના એકસો દસમા પ્રકરણે સમાપ્ત થતી નવલમાં બધું મંગળ જ મંગળ નથી. નવલકથાનો આરંભ આશાયેશ જગાડનારો અને અંત સુખમાં પરિણમનારો જરૂર છે પરંતુ તેની વચ્ચેનાં પ્રકરણોમાં જે અન્યાય, અભાવ,દરિદ્રતા, શોષણ અને દુ:ખનાં  વર્ણનો છે તે નવાસવા ઔધ્યોગિકીકરણ તરફ જઈ રહેલા ફ્રાન્સના સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક જીવનનું બિહામણું ચિત્ર રજૂ કરે છે.

    ” વૈદના ઘરનું બારણું કદી બંધ ન કરવું જોઈએ;  અને પાદરીના ઘરનું બારણું હંમેશ ઉઘાડું રહેવું જોઈએ” એમ માનતા ડી.પરગણાના બિશપ અને તેમનું ઘર, તેમની સાદાઈ, ધાર્મિકતા, નૈતિકતા અને ઉચ્ચ વિચારોથી કૃતિનો ઉઘાડ થાય છે. ચારેકોરથી હાડેહાડે થતો, હડધૂત મુસાફર જીન વાલજીન ધર્માચાર્યના ઘરના મુખ્ય બારણે જોરથી લાકડી વડે ટકોરો મારે છે. ‘અંદર આવો’ ના આત્મીય આવકાર અને ‘ટેબલ ઉપર બીજી તાસક મૂકો’ ના આદેશ સાથે ‘પરોણો’ ઘરમાં પ્રવેશે છે. આ પરોણો પોતાનો પરિચય આપતાં પાદરીસાહેબને  સ્પષ્ટ જણાવે છે: ‘મારું નામ જીન વાલજીન છે. લશ્કરી વહાણ ઉપર કેદી, ગુલામ તરીકે ઓગણીસ વર્ષ સજા ભોગવીને હું ચાર દિવસ ઉપર જ છૂટ્યો છું’

    સાત બાળકોની મા એવાં વિધવા મોટી બહેન અને તેમના કુટુંબનું ગુજરાન ચલાવવાનો ભાર જીન વાલજીન પર ભરયુવાનીમાં  આવી પડેલો. કઠિયારાનું કામ કરતા  યુવાન વાલજીનના એક પછી એક આકરાં વરસો ‘ કામ વિનાના તથા કુટુંબ રોટી વિનાનું’ થઈ જતાં એક દિવસ પાઉરોટી ચોરવાનો પ્રયત્ન કર્યો, નિષ્ફળ નિવડ્યો અને પકડાયો. ભારે કષ્ટદાયી અને લાંબી સજા પામ્યો. અંતે ‘ગુનેગાર’ ના પીળા પરવાના સાથે મુક્ત તો થયો પણ સમાજે તેને સ્વીકાર્યો નહીં.

    શારીરિક રીતે મજબૂત અને માનસિક રીતે ચપળ જીન વાલજીન મજૂરીમાં શોષાઈ રહ્યાનું જાણી ચૂક્યો હતો. પણ કંઈ કરી શકતો નથી. બિશપના ઘરેથી કે રસ્તામાં ગારુડી પાસેથી એ ચોરી કરે છે. ફરતો ફરતો નામરૂપ બદલતો બદલતો માલદાર બને છે. ગુનેગારમાંથી કારખાનાનો માલિક જ નહીં નગરનો નગરપતિ પણ બને છે. પ્રેમ મેળવી તો શકતો નથી પણ પોતે માનેલી દીકરીને પ્રેમ આપવામાં, ગરીબ-ગુરબાંને અભાવોમાંથી મુક્ત કરવામાં કોઈ કસર બાકી રાખતો નથી. એક નિર્ધન, અપરાધી જીન વાલજીન એક રાતના થોડા કલાકોના બિશપના સહવાસમાં જીવનમાં મોટું પરિવર્તન આણે છે. પોતાનું શોષણ અને ગરીબી સાવ ભૂલી જાય છે. અને એટલો તો ધર્માચાર્યના પ્રભાવમાં આવી જાય છે કે બિશપના અવસાનના ખબરે શોકનાં કપડાં પહેરેલો જોવા મળે છે.

    આ નવલકથા ભૂખ, અભાવ, દારિદ્રયની કથા છે તેમ તે કર્તવ્ય અને પ્રેમની પણ કથા છે. નવલકથામાં પ્રેમનું પ્રતીક ફેન્ટાઈન અને તેની દીકરી કૉસેટ છે તો કર્તવ્યનું પ્રતીક પોલીસ ઈન્સ્પેકટર જાવર્ટ છે. ફેન્ટાઈન કાચી ઉંમરે પ્રેમ કરી બેસે છે અને એનો બેવફા પ્રેમી એને સગર્ભા બનાવી ભાગી જાય છે. ફેન્ટાઈનના જીવનના એ અંતિમો લેખકની કલમે આમ અવતર્યા છે. જુવાન ફેન્ટાઈનના રૂપ વિશે લેખક અદભૂત  ઉપમા પ્રયોજે છે: તે સુંદર હતી, તેને માથે સુંદર વાળ હતા અને તેના દાંત ફૂટડા હતા. આમ સોનું અને મોતી એ બે વસ્તુઓ સ્ત્રીધન તરીકે તેની પાસે હતા: સોનું માથા પર હતું અમ્ને મોતી મોંમાં.. અને પછી? ફેન્ટાઈન દીકરીને જન્મ તો આપે છે પણ તેને સાથે રાખી શકતી નથી. પૈસાના લોભી, લુચ્ચા અને સ્વાર્થી એવા થેનારડિયરની વીશીમાં એ દીકરીને રાખે છે. થેનારડિયર ફેન્ટાઈનની મજબૂરી જાણીને વધુને વધુ છેતરે છે. પૈસે ટકે સાવ નિર્ધન બની ગયેલી ફેન્ટાઈન પાસે જ્યારે દીકરીને ઠંડીથી બચાવવા ફ્રોક માટે દસ ફ્રાંકની માંગણી આવે છે ત્યારે? ફેન્ટાઈન રાત પડે હજામની દુકાને ગઈ. ત્યાં જઈ તેણે માથાનો ચીપિયો ખેંચી લીધો. એટલે તેના ગૂછળાબંધ વાળ કેડ સુધી છૂટા પથરાઈ ગયા.’કેવા સુંદર વાળ!’ હજામ આભો થઈ બોલી ઊઠ્યો! ‘તું  મને આ વાળનું શું આપીશ? ‘ દસ ફ્રાંક’ , ‘ ચાલ, કાપી લે..” ફેન્ટાઈન વિચારતી હતી કે મારી બચ્ચી હવે જરાય થથરશે નહીં. કારણ મેં મારા માથાના વાળથી તેને ઢાંકી છે.

    જીન વાલજીન નામપલટો, રૂપપલટો કરીને  લખપતિ અને મેયર બને છે અને શાંતિથી છુપાઈને જીવે છે.પણ પોલીસ ઈન્સ્પેકટર જાવર્ટ એનું નામ-મૂળ-કૂળ શોધી કાઢે છે. જાવર્ટ એક રીતે તો રાજ્ય પ્રત્યેની પોતાની ફરજ અને કર્તવ્ય બજાવે છે તો એ રાજ્યનું વિકૃત રૂપ પણ છે. કેમ કે જીન વાલજીન નામના ગુનેગારને ઝબ્બે કરવાની લાયમાં એ એના ગુનાના સાચા કારણની અને એના ભૂતકાળની પરવા કરતો નથી.અંતે જાવર્ટને જીન વાલજીન બચાવે છે અને તે મંથન કરતો કરતો આત્મહત્યા કરે છે.

    આ નવલકથામાં અપાર દુ:ખ અને દારિદ્રયનું વર્ણન છે પણ એના મૂળ કે ઉકેલ વિશેનો લેખકનો દ્રષ્ટિકોણ અલગ છે. હ્યૂગોના સમકાલીન કાર્લ માર્ક્સે (૧૮૧૮-૧૮૮૩) શોષિતોના દુ:ખનું મૂળ શોધ્યું છે પણ હ્યૂગો આ બાબતે સાવ સામા છેડાનું વિચારે છે. હા, નવલકથામાં ફ્રાન્સના ક્રાંતિકારીઓના એ.બી.સી. મિત્ર મંડળ અંગેનું પ્રકરણ-૪૪ જરૂર છે. જેમાં વિવિધ ક્રાંતિકારી લોકોનો સરસ પરિચય લેખક કરાવે છે.

    પરંતુ આ નવલકથાનો પ્રધાનસૂર તો “માનવ હ્રદયની મંગલશક્તિ સત્ય ધર્મપાલન”  જ છે. એ આજે આટલા વરસે જરૂર ખટકે છે. આ નવલકથા પ્રગટ થઈ ત્યારે પણ લેખકના આવા અભિગમનો વિરોધ અને વિવાદ થયાં હતાં. આજે જ્યારે રાજ્ય, ધર્મ અને મૂડી વિશે નવેસરથી વિચારવાની જરૂર છે ત્યારે વિકટર હ્યૂગોની નવલકથાનો આ સૂર વિચારણા માંગી લે છે.


    [1]Les Misérables” by Victor Hugo


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • હું છું, મારી ભાષા છે, પણ આશા ક્યાં છે?

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    હજુ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનાં ઉજવણાં આછર્યાં ન આછર્યાં અને આ ‘બે શબ્દો’ સૂર્યપ્રકાશ જોશે. શરૂઆત, પેલા કહે છે તેમ, શરૂઆતથી જ કરું? યુનેસ્કોએ નવસ્વાતંત્ર્યપ્રાપ્ત બાંગ્લાદેશની સત્તાવાર ભલામણ પછી ૨૧મી ફેબ્રુઆરી સાથે આ દિવસ જોડ્યો હતો. પાકિસ્તાને ઉર્દૂને એકમેવ રાષ્ટ્રભાષા થોપવાની કોશિશ કરી એના વિરોધમાં પૂર્વ પાકિસ્તાન (પૂર્વ બંગાળ)ના છાત્રો સડકો પર ઊતર્યા ને પાકિસ્તાનના હુકમરાનોએ એમને અવિચારી રીતે ડામ્યા: તે દરમ્યાન કેટલાક બાંગ્લા છાત્રોએ શહાદત વહોરી. ૧૯૫૨ની ૨૧મી ફેબ્રુઆરીની આ ઘટના આગળ ચાલતાં સ્વતંત્ર બાંગ્લાદેશના ઉદય ભણી લઈ ગઈ.

    આપણે ત્યાં સ્વરાજ આંદોલન જોડાજોડ ધરમ મજહબને ધોરણે જે ‘રાષ્ટ્ર’વાળી ચાલી, એની સામે પાકિસ્તાનનું આ વિભાજન એક જુદી જ મિસાલ પેશ કરે છે અને કથિત મજહબી એકતાને છોડીને ભાષાનો મુદ્દો અગ્રસ્થાને આવે છે. મુદ્દે, ઉર્દૂ ન તો બધા મુસલમાનોની ભાષા છે, ન તો કેવળ મુસલમાનોની ભાષા છે, એ સાદી સુધબુધ નવા પાક હાકેમોમાં નહોતી ને આ નોબત આવી. એની સામે આપણે જે રાહ લીધો, સમવાયી અભિગમપૂર્વક, એને કારણે અલગ અલગ ભાષા સંસ્કૃતિવાળા પ્રદેશોને સહજીવન સારુ મોકળાશ મળી રહી: ક્યારેક નવા ભાગલાની કગારે લાગતું દ્રવિડ આંદોલન આજે છૂટા પડવા જેવા પૂર્વવત્ મિજાજમાં ન વરતાતું હોય તો તેનું રહસ્ય આ વિગતમાં છે.

    રહો, આ ચર્ચા કેવળ ઉપખંડકેન્દ્રી બની રહે તે પૂર્વે યુનેસ્કોની ભૂમિકાને જરી સમજીએ. માતૃભાષાના મહિમામંડન સાથે એમાં અનુસ્યૂત આગ્રહ ભાષાવૈવિધ્યના સમાદરનો છે. સમાદર અંગેની એની ચિંતા ને ચર્ચા ક્યાં ક્યાં પહોંચે છે! આપણે તો હિંદી-ચીની-રૂસી-ઈંગ્લિશ-સ્પેનિશ-ફ્રેન્ચ એમ પાંચપચીસ દસવીસ ભાષાઓનાં નામમાં રમીએ છીએ. પણ દુનિયામાં નાની નાની કેટલી બધી થઈને ૮,૩૦૦ આસપાસ ભાષાઓ છે. ઉલટ પક્ષે, દુર્દૈવ વાસ્તવ એ છે કે આજે દુનિયાના વિદ્યાર્થીઓ પૈકી ખાસા ૪૦ ટકા એવા છે જેમને પોતાની માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ નસીબ નથી, કેમ કે અડખે-પડખે બધે જ કથિ મોટી ભાષાઓ જળો પેઠે જામી ગઈ છે અને તે નાની ભાષાઓને ગ્રસતી જાય છે

    અગર એને દુય્યમ દરજ્જાનું જીવન જીવતા દૃશ્ય છતાં અદૃશ્યવત્ લોકમાં સીમિત કરે છે. નેશન ફર્સ્ટ, એક ભારત શ્રેષ્ઠ ભારત તરેહનાં દેશ-દેશનાં સ્લોગન તળે નાની ભાષાઓ કાં તો કરમાઈ જાય છે કે પછી નકરી ચંપાતી, નકો નકો જિંદગી બસર કરે છે. ૧૯૬૦માં ભાષાને ધોરણે ગુજરાતનું રાજકીય એકમ અસ્તિત્વમાં આવ્યું- અને છેએએક ફેબ્રુઆરી ૨૦૨૩માં એક વિષય તરીકે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજીયાત ગુજરાતી હોય જ, એવું વિલક્ષણ વિધેયક પસાર કરી શક્યા… જાણે નંદ ઘેર આનંદ ભયો. હરખે હુલસતા એક છાપાએ મથાળું પણ મજાનું ફટકાર્યું: ‘હું છું, મારી ભાષા છે, કંઈક થશે એવી આશા છે.’ ભાઈ, આશા તો કે’દીની મંડાઈ હતી, જ્યારે ખુદાવંદ ખંડેરાવના દરબારમાં દલપતરામ વડોદરે ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે પુગ્યા હતા.

    આનંદશંકર શરૂ શરૂમાં અંગ્રેજી મારફતે જ શાલેય શિક્ષણના આગ્રહી હતા તે ‘વસંત’ના તત્કાલીન અંકોમાંથી પસાર થનારના ખયાલમાં હોય જ. ૧૯૧૭ના ઓક્ટોબરમાં ભરૂચમાં ગુજરાતી કેળવણી પરિષદ મળી ત્યારે પ્રમુખ સ્થાનેથી ગાંધીજીએ કદાચ એમના જેવાને જ લક્ષ્યમાં રાખીને રેવરંડ ટેલર કૃત સર્વપ્રથમ ગુજરાતી વ્યાકરણના આરંભ ઉદગારો સંભાર્યા હતા કે ‘ગુજરાતી – આર્યકુળની – સંસ્કૃતની પુત્રી – ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી! તેને કોણ કદી અધમ કહે! પ્રભુ, એને આશીર્વાદ દેશો! જુગજુગના અંત સુધી તેની વાણીમાં સદવિદ્યા, સદજ્ઞાન, સદધર્મનો સુબોધ હજો!’

    આગળ ચાલતાં, ૧૯૨૮માં નડિયાદની સાહિત્ય પરિષદમાં પ્રમુખ સ્થાનેથી બોલતાં આનંદશંકરે પોતાના મતપરિવર્તનની સાહેદી આપી હતી: ‘૧૮૫૭માં આપણી મુખ્ય યુનિવર્સિટીઓ સ્થપાઈ તે વખતે સર ચાર્લ્સ વૂડે પ્રગટ કરેલી આશા કે ગ્રેજ્યુએટો પોતાનું જ્ઞાન નીચેના વર્ગમાં ઉતારશે એ અત્યાર સુધી સફળ થઈ નથી તેનું કારણ ગ્રેજ્યુએટોનો દોષ નથી, પણ યુનિવર્સિટીના શિક્ષણમાં સર્વ શાસ્ત્રના મણિ ગણમાં માતૃભાષા સૂત્રવત્ પરોવાયેલી નથી એ જ છે. રાજા રામમોહન રાય અને મેકોલેએ સ્થાપેલી અને ચાર્લ્સ વૂડે અભિષિક્ત કરેલી શિક્ષણ પ્રણાલી લગભગ સો વર્ષ સુધી એના એ રૂપમાં જ ચાલ્યાં કરે એ જ એની જડતાની પૂરી નિશાની છે.’

    આરંભિક માધ્યમ તરીકે અને વહીવટની રીતે દેશ ભાષાઓની સવાઁગ પ્રતિષ્ઠા, નાનાં નાનાં ભાષાજૂથોને સ્વતંત્ર સ્થાનમાન, રાષ્ટ્રવાદ પરત્વે સમવાયી લોકતાંત્રિક અભિગમ- જેથી એકે ભાષા ધ લેંગ્વેજ બની સવાર ન થઈ જાય અને દેશ દેશ વચ્ચે સમવાયસમાદર, આ મહદ્ દર્શન, ૨૧મી ફેબ્રુઆરીનાં રંગઉજવણાંના તરણા ઓથેથી સમજાઈ રહેશે? દુ:સાધ્ય હશે તો હશે, પણ અસાધ્ય અવશ્ય નથી.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૭-૨-૨૦૨૬ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • આદિમ અને આધુનિક સભ્યતા

    મંજૂષા

     વીનેશ અંતાણી

    સામાન્ય રીતે આપણે દુનિયામાં પ્રવર્તમાન માનવસભ્યતાને બે ભાગમાં વહેંચીને જોઈએ છીએ – આધુનિક અને આદિમ. વાસ્તવમાં દુનિયાના કોઈ પણ ખૂણામાં જન્મેલા અને વસતા માનવો સમાન છે. સૌની શારીરિક રચના એકસરખી છે. સૌ પ્રેમ, ભય, પ્રસન્નતા, દુ:ખ જેવા ભાવો પણ એકસરખા અનુભવે છે. દરેકની પોતાને, પરિવારને, સમાજને, પોતાના દેશ-પ્રદેશને સુરક્ષિત રાખવાની ભાવના પણ એકસરખી હોય છે. ભારતના ગામડાની ઝૂંપડીમાં જન્મેલા બાળક અને દિલ્હી કે ન્યૂ યૉર્ક જેવા મહાનગરના આલીશાન ઘરમાં જન્મ લેતા બાળકના રુદનમાં કોઈ ફરક હોતો નથી. પછી જીવન આગળ વધે છે તેમતેમ માનવોની સંસ્કૃતિ, સભ્યતા, સામાજિક પરંપરા, જીવનશૈલી, વિચારસરણી વગેરેમાં અંતર આવવા લાગે છે.

    માનવજાત અનેક સભ્યતામાં વહેંચાઈ ગઈ છે. કોઈ પણ સભ્યતા રાતોરાત વિકસતી નથી. એનાં મૂળ ઊંડાં હોય છે. દરેક સભ્યતાનો આગવો ચહેરો હોય છે. પ્રાચીન સમયમાં માનવો જંગલ-પહાડોમાં વિચરતું જીવન જીવતા, પ્રાણીઓનો શિકાર કરી પેટ ભરતા. પછી ખેતી વગેરેનો વિકાસ થયો અને એમાંથી અલગઅલગ સભ્યતાનો વિકાસ થયો. આજે આપણે બાહ્ય વિકાસને માપદંડ માની કેટલીક સભ્યતાને ‘આધુનિક’ કહીએ છીએ અને આદિવાસી, અરણ્યવાસી અને વિવિધ જનજાતિઓની સભ્યતાને ‘પછાત’ કહેવા લાગ્યા છીએ. એ માન્યતા સાચી નથી. ધ્યાનથી અભ્યાસ કરવામાં આવે તો જેને ‘આદિમ’ કહીને ઉતારી પાડીએ છીએ તે માનવસમૂહ કોઈ પણ રીતે ઊતરતો નથી. વાસ્તવમાં કેટલીય આદિવાસી પ્રજાની જીવનદૃષ્ટિ અને સામજિક રચના આજના કહેવાતા ઉન્નત અને પ્રગતિશીલ સમાજોથી વધારે માનવીય, સંતુલિત અને વિધિવિધાનોની દૃષ્ટિએ વધારે આધુનિક અને પરિપક્વ છે.

    બહારથી દેખાતી વિભિન્નતાની ભીતર માનવસમાજને જોડતી ઘણી સમાનતાઓ છે. કોઈ પણ સભ્યતામાં ભાષા, કલા, નૈતિક મૂલ્યો મહત્ત્વનાં ઘટકો છે. એના વિના કોઈ પણ સમાજને ચાલતું નથી. જન્મ, વિવાહ અને મૃત્યુ સાથે જોડાયેલી પરંપરાઓમાં પણ ઘણી સમાનતા છે. દરેક માનવસમાજને પોતાની આગવી વાર્તા-પરંપરાનો વારસો મળ્યો છે. પ્રાચીન સમયની વાર્તાકથનની પરંપરાઓમાંથી આજની વાર્તાઓ, નવકથાઓ, નાટકો, કથાગીતોનો વિકાસ થયો છે. કોઈ પણ સંસ્કૃતિ-સભ્યતા માનવોના આંતરિક વિકાસમાંથી જન્મે છે. ભાષા, બોલી, સંગીત અને અન્ય કળાઓની રજૂઆતની પદ્ધતિ અલગ હોય, પરંતુ એનો મૂળ ઉદ્દેશ માનવોની લાગણીઓને પોષવાનો છે. આનંદ અને શોક વ્યક્ત કરવાની પદ્ધતિ અલગ હોય, પરંતુ એ ભાવો દરેક સભ્યતામાં સમાન હોય છે. શૈલી બદલાય છે પરંતુ આખરે તો બધું માનવભાવોને વ્યક્ત કરે છે – પછી તે આદિવાસી નૃત્ય હોય, લોકસંગીત હોય કે આધુનિક ભવ્ય સંગીતરચના હોય, લોકવાર્તા હોય કે આજની પ્રયોગશીલ કથનરીતિ હોય. ગુફાચિત્રો હોય કે આધુનિક ચિત્રશૈલી હોય.

    આજે મોટા ભાગની ‘વિકસિત’ સભ્યતામાં વ્યક્તિગત સિદ્ધિઓને સર્વોત્તમ સ્થાન આપવામાં આવે છે, એની સામે ઘણા આદિવાસી સમાજમાં વ્યક્તિગત ઉપબ્ધિને ખાસ મહત્ત્વ આપવામાં આવતું નથી, બલકે એનાં સામૂહિક પરિણામોને મહત્ત્વ આપવામાં આવે છે. એમના દૃષ્ટિકોણ પ્રમાણે વ્યક્તિનો અંગત વિકાસ ગૌણ છે, આખા સમાજનો વિકાસ શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે. દક્ષિણ આફ્રિકાના કાલાહારી રણપ્રદેશના ‘સાન’ જાતિની કોઈ વ્યક્તિ બહુ મોટા પ્રાણીનો શિકાર કરે ત્યારે એમનો સમાજ એની સફળતાને ગાઈ-વગાડીને પોંખતો નથી. એમ કરીને તેઓ કોઈ વ્યક્તિમાં ઘમંડ જાગે નહીં એનો ખયાલ રાખે છે, જ્યારે આધુનિક સભ્યતામાં વ્યક્તિગત સફળતાને હદબહાર ચગાવવામાં આવે છે. એનાં દુષ્પરિણામો સામે આવી રહ્યાં છે.

    કેટલાય આદિવાસીઓની સભ્યતામાં લગ્નને અંગત સંબંધથી વિશેષ સામાજિક જવાબદારી તરીકે જોવામાં આવે છે. પરિણિત યુગલ એમના પરિવારને સાચવે અને પરિવાર એમને સાચવે એવી ભાવના છે. એની સામે આધુનિક સભ્યતામાં લગ્નજીવનમાં વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો સામે આવી ગયો છે. આધુનિક સમાજમાં ઝડપી ક્મ્યુનિકેશન, ઝડપી નિર્ણયોની માયાજાળમાં માનવ માનસિક શાંતિ ખોઈ બેઠો છે, તાંઝાનિયાની આદિવાસી જાતિ ‘હાડ્જા’ના લોકો દિવસનો બહુ થોડો સમય શિકાર કરવા પાછળ આપે છે. સર્વેક્ષણોનાં તારણો પ્રમાણે તેઓ બાકીનો સમય આનંદપ્રમોદમાં, લોકોને મળવામાં અને પરિવારની સાથે રહેવામાં ગાળે છે. એમને ડેડલાઇનના તનાવમાં જીવવું પડતું નથી.

    અભ્યાસીઓ પૂછે છે તેમ પ્રગતિ માનસિક શાંતિ આપી ન શકે તો એનો અર્થ શો? આજનો માણસ કુદરતથી ખૂબ દૂર થઈ ગયો છે. વિકાસના નામે આપણે પ્રકૃતિનો કચ્ચરઘાણ વાળી નાખ્યો છે. દુનિયાના લગભગ બધા આદિવાસીઓ નદી, પર્વત અને જંગલ જેવાં પ્રાકૃતિક તત્ત્વોની પૂજા કરે છે. અમેરિકાની ‘લકોટા’ નામના આદિવાસીઓમાં એક વિચાર જાણીતો છે – ‘બધું એકમેકની સાથે જોડાયેલું છે.’ આટલી સાદી વાત સમજવામાં આવે તો પર્યાવરણની વર્તમાન સમસ્યાનો હલ નીકળી શકે.

    આધુનિક સમાજ સમાનતાની વાતો કરે છે, પરંતુ આર્થિક, જાતિગત, ધાર્મિક અસમાનતાઓની ખાઈ વધતી ગઈ છે. દુનિયાભરના રાજકારણીઓ એમના સંકુચિત લાભ માટે માનવસમાજને વિભાજિત કરી રહ્યા છે. એની સીધી અસર સામાન્ય પ્રજા પર થાય છે. માનવજીવનના વિકાસનાં સુપ્રસિદ્ધ અભ્યાસી માર્ગરેટ જાડે લખ્યું છે કે અરસપરસ સહયોગ એ માત્ર નૈતિક આદર્શ નથી, જીવનની મૂળભુત શરત છે. ટેક્નોલોજીના વિકાસથી માનવોને અકલ્પ્ય સુવિધા પ્રાપ્ત થઈ છે. તેમ છતાં એની માનવજીવન પર અનેક નકારાત્મક અસરો પણ દેખાવા લાગી છે.

    આ અંગે અલ્બર્ટ આઇન્સ્ટાઇન વર્ષો પહેલાં ચેતવણી આપી હતી કે ટેક્નોલોજીના વિકાસમાં માનવ હોવાના ગૌરવનો પરાજય પણ થયો છે. દરેક મનુષ્ય એકસરખા નથી એ જ માનવજાતિની સૌથી મોટી તાકાત છે. કહેવાતી આદિમ સભ્યતા શીખવે છે કે કેવળ આધુનિક હોવું પર્યાપ્ત નથી. આદિમ અને આધુનિક સભ્યતાનો સમન્વય સાચી દિશા છે. જો માનવજાત પ્રાચીન અને આધુનિક અભિગમને જોડી શકે તો એક એવી સભ્યતા આકાર લઈ શકે, જેમાં કેવળ વિકાસ જ નહીં માનવીયતાનું ઊંડાણ પણ હોય.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.

  • ગણેશિયો

    ચંદ્રકાન્ત સોની

    મુઠ્ઠીવાળી, એણે મજુરીના મળેલા પૈસા ખિસ્સામાં મૂક્યા. પૈસા મળતાં એનો ચહેરો પુલકિત થઈ ઉઠ્યો.

    બજાર વિંધતાં ઝુંપડપટ્ટી તરફ એણે પગ ઉપાડ્યા. મોટીમોટી ફાળો ભરતો જાય, અને ખિસ્સામાં વારંવાર હાથ નાખી શાંતિ અનુભવતો જાય.

    કપડાંની એક દુકાનની બહાર લટકતી સાડીઓ તે તાકી રહ્યો. ખિસ્સામાં હાથ નાખી પાછો કાઢી લીધો

    એ વિચારે ચડ્યો. બે વર્ષ અગાઉની દીવાળીએ પાંદડીએ એક શેઠાણીનું દિવાળીનું ઘરકામ કરી આપેલું અને શેઠાણીએ પોટલી ભરીને ખાવાનું અને જૂની બે સાડીઓ આપેલી, એ પહેરીને બે બે વર્ષથી પાંદડી દિવાળી પર હરખાતી..

    હરખાતી પાંદડીને તાકી રહેવાનું તેને ગમતું…મા આઘીપાછી હોય ત્યારે પાંદડીને મીઠું અડપલુ કરતાં કહેતો, “આજે તું અવ્વલ શેઠાણી લાગે છે,”ને બંને ખડખડાટ હસી પડતાં.

    તેની વૃદ્ધ મા દર દિવાળીએ ઓછાં થીગડાં હોય એવો ,જાતે ધોઈને, વાળીને ઓશિકા નીચે મુકેલો સાડલો પહેરી સપરમા દાડે થોડું હરખાઈ લેતી.

    રોડની એક બાજુના ફૂટપાથ પર નાના બાળકોના તૈયાર કપડાં વેચતા ફેરિયા પર તેની નજર પડી.. એણે તે તરફ પગ ઉપાડ્યા. બાર વર્ષના મણિયાને માપનાં કપડાં અને આઠ વર્ષની જયલીને થાય એવું ફ્રોક તેને પસંદ પડ્યું.  ભાવની રકઝક કરી..તેના બંને સંતાનો માટે ખરીદી લીધાં.

    ઘેર પહોંચીને જોયું તો, પાંદડી તેના બ્લાઉઝની બાંયોને માપસરની કરવા ટાંકા લઈ રહી હતી, તો મા એક થીગડાંવાળા સાડલાને બીજા થીગડાં માટે, કાપડના ટૂકડા અને સાડલાના કાણા વચ્ચે સમાધાન સાધી રહી હતી.

    મણિયો અને જયલી, એકેએક થેલો લઈને રેલ્વે સ્ટેશન બાજુએ કાગળના ડૂચા પ્લાસ્ટિક અને લોખંડનો ભંગાર વિણવા ગયા હતા, તે હજુ આવ્યા ન હતા.

    રાત્રે ઓસરીમાં પાથરેલા ખાટલામાં પડ્યો પડ્યો તે વિચારે ચડ્યો.

    આજથી બાર તેર વર્ષ પહેલાં પિતાજીના મૃત્યુ પછી એ ઘરફોડ ચોરી કરવાને ઈરાદે તેના પિતાજીનો ગણેશિયો લઈને અંધારામાં નીકળવાની તૈયારી કરતો હતો ને તેની પત્ની પાંદડીએ તેના પગ પકડીને, ખોળો પાથરી હવે આવા ચોરીના ધંધા છોડી દેવા વિનંતી કરતી રડતી રડતી એના પેટમાંના બાળકના સોગંદ આપેલા અને એણે ગણેશિયાને માથું નમાવી યથાસ્થાને મૂકી દીધેલો.

    બીજે દીવસે પાંદડીને સાથે લઈ મજૂરીએ ઉપડી ગયેલો.

    પાંદડીએ પણ તેના ખભેખભા મિલાવી મજૂરી કરવામાં કોઈ કસર ના છોડી…પણ તેની વૃદ્ધ માની બીમારીએ તેના બે આવકના છેડા ભેગા કરવા મુશ્કેલ કરી દીધા.

    આજે તેના મનમાં ચોરી કરવાનો નઠારો વિચાર આવી ગયો.એક બાજુ પૈસાની ખૂબ જ અછત અને બીજી બાજુ દિવાળી જેવો ઉમંગનો તહેવાર આવી રહ્યો હતો. દિવાળીને કારણે પાંચપાંચ દીવસ બજાર પણ બંધ રહેવાનું હતું.. તેની સામે બીમારીમાં કણસતી મા, તો ઓશિયાળા થઈ ટળવળતા બાળકો અને જીવનના તમામ અભરખા છોડી દીવસે દીવસે ગળતી જતી તેની પત્ની પાંદડી.

    બજારમાં મજૂરી કરતાં કરતાં એણે છેક છેવાડેની કરિયાણાની દુકાન જોઈ રાખી હતી. તે દુકાનની પાછળની લાકડાની એક બારી એક ધક્કે તોડી શકાય એમ તેનો અંદાજ કંઈ ખોટો ન હતો…અંદરના કબાટનાં તાળાં તોડવામાં તેનો ગણેશિયો કાફી હતો…ભલે પૈસા ટકા ના મળે પણ દીવાળી પર શાંતિથી રાંધી શકાય એટલું કરિયાણું મળે એટલી જ ચોરી કરવાનો તેનો નિશ્ચય હતો..

    પાંદડી, નાના બાળકો અને તેની મા હવે ઊંઘતા હશે એમ માની એ ધીમે પગલે ઉઠ્યો.

    ગણેશિયો હાથમાં લઈને “પહેલાં સમરૂં ગણપતિ દેવા વિગન દેજો કાપી રામા..”મનોમન પ્રાર્થના કરી, ગણેશિયાને હાથ જોડી, ગણેશિયો હાથમાં લઈને માથે અડકાડ્યો..પણ તે થોડો ધ્રુજી ઉઠ્યો…પાંદડીએ ફરી ગણેશિયો હાથમાં ન લેવા કે ચોરીનો વિચાર પણ ન કરવા’ મેલડી મા’ના સોગંદ આપેલા…

    ગણેશિયો તેના હાથમાંથી નીચે પતરાની પેટી પર પડતા, અવાજ સાંભળી પાંદડી અને બંને બાળકો સાથે ખાં,…ખાં..ખાં કરતી મા પણ જાગી ગઈ.

    બંને બાળકોએ પાંદડી સામે જોયું.. પાંદડીએ પેલી પતરાની પેટી ખોલી…એક થેલીમાં પરચૂરણ છૂટ્ટા પૈસા અને બીજી થેલીમાં થોડી ફાટેલી ચુંથાયેલી રૂપિયાની નોટો હતી.

    માએ નીચે પડેલો ગણેશિયો હાથમાં લીધો બોલી..”આ ગણેશિયાના જોરે તો તારા બાપની અડધી જિંદગી સપાઈઓનો માર ખાવામાં અને જેલમાં રહેવામાં પૂરી થઈ ગઈ બેટા…”

    “બાપા, આ મેં અને જયલીએ દીવાળી કરવા ભેગા કરેલા પૈસા..અને સવારે સવારે તમે મજૂરીએ ઉપડી જાઓ ત્યારે મારી માએ પણ હમણાં હમણાં બે ચાર ઘરનું છૂટક ઘરકામ પણ બાંધ્યું છે એના છૂટક કામની આ નોટો.” મણિયો તેને તાકતો કહી રહ્યો.

    “આજથી તું મારો ખરો ગણેશિયો.”.કહેતાં મણિયાને બાથમાં લઈ તેની આંખો ભીની થઈ… તે દીવસથી એણે મણિયાનું નામ ગણેશિયો પાડી દીધું.

    હવે તો મણિયો પણ તેની બરાબરીમાં મજૂરી કરતો થઈ ગયો હતો…

    માના મૃત્યુ વખતે માની લાશના પડખામાં ગણેશિયો મૂકી દીધો..ચિતાના ભડભડતા અગ્નિમાં ગણેશિયો પણ ઓગળી ગયો…પેઢી દર પેઢીનો ગણેશિયાનો સંબંધ સ્મશાનમાં ઓગળીને વિલીન થઈ ગયો.


    ચંદ્રકાન્ત જે સોની | મોડાસા

  • અંતિમ વિદાય

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    મા-બાપુ, પમ્મી, મોહન, મોહનની પત્ની શીલા, સોહન અને નિમ્મી.

    આ મધ્યવર્ગી પરિવારની મોટી દીકરી પમ્મીને પરણે પાંચ વર્ષ થયાં પછી પણ એના સાસરે થતા ક્લેશના લીધે અવારનવાર પિયર પાછી આવતી.

    આજે ફરી આખા ઘરમાં સન્નાટો ફેલાઈ ગયો. કારણ? પમ્મીનો પત્ર.

    છેલ્લા કેટલાક સમયથી આમ જ થતું. પમ્મીનો પત્ર આવતો અને સૌ ખળભળી જતાં. અકળાયેલા બાપુજી બહાર ચાલ્યા જતા. મા રસોડામાં જઈને રૂદન ખાળવાનો પ્રયાસ કરતી છતાં આંખમાંથી આંસુના પૂર વહી આવતા. સોહન ભણવાના બહાને ભાઈબંધના ઘેર ચાલ્યો જતો અને જમવાના સમય સુધી પાછો નહોતો ફરતો.  મોઢું ચઢાવીને નિમ્મી પોતાના રૂમમાં ચાલી જતી.

    આવા સમયે ઘરમાં સૌથી વધુ ભાર મોહન અને શીલા અનુભવતાં. હંમેશાં ડરતાં કે, ભૂલથી પણ એવું કશું ના બોલાઈ જાય જેનાથી દારુખાનામાં આગ ચાંપવા જેવી સ્થિતિ સર્જાય.

    પમ્મીના પત્રની સૌથી વધુ અસર મા પર થતી.

    પાંચ વર્ષના વૈવાહિક જીવનમાં છેલ્લાં ચાર વર્ષથી પમ્મીની એકધારી ફરિયાદ આવતી કે, “જો મારે અહીં વધુ રહેવાનું થશે તો પછી કશું હાથમાં નહીં રહે. હું કંઈક ખાઈ બેસીશ તો તમે મને ખોઈ બેસશો.”

    શરૂઆતમાં પમ્મી પિયર ચાલી આવતી તો સૌ એને સાચવી લેતાં. બેચાર દિવસ પછી બાપુજી ખુદ પમ્મીના સાસરે જઈને એણે કરેલા કે ન કરેલા અપરાધોની માફી માંગી લેતા. ક્યારેક જમાઈને બોલાવીને સમજાવતા, પણ સઘળું વ્યર્થ.

    પમ્મી આવતી ત્યારે ઘરના રોજિંદા ક્રમની સાથે મહિનાનું બજેટ પણ ખોરવાઈ જતું. પમ્મીને ખુશ રાખવા મા ઢગલો રૂપિયા ખર્ચી નાખતી.

    આ બધું કરવામાં શીલાનાં જ પૈસા ખર્ચાતા. ઘરમાં આરોપ-પ્રતિ આરોપનો સિલસિલો શરૂ થઈ જતો.

    આ બધું જોઈને પમ્મીને પણ અતિ દુઃખ થતું. ક્યારેક એ બોલી દેતી કે, “મારા આવવાથી ઘરનું વાતાવરણ સાવ આવું થઈ જશે એવી ખબર હોત તો હું મારા ઘેર શું ખોટી હતી?”

    અને સાચે જ સૌ પમ્મીના જવાની તૈયારી આદરી દેતાં. ઢગલો સામાન સાથે પમ્મીને અપાતી વિદાય કપરી રહેતી. ઘરની નજીવી આવકમાં મોટો ખાડો પડતો. પમ્મીની વિદાય સાથે ઘરનાં સૌની જરૂરિયાત પર કાપ આવી જતો.

    પમ્મીને સાચવવાની મથામણમાં ઘરખર્ચમાં જે ખાઈ ઊભી થતી એ પુરાય ત્યાર પહેલાં તો પમ્મીનો બીજો પત્ર આવતો. આમ ક્યાં સુધી ચાલશે એની દ્વિધા સાથે એક ડર સૌના મનમાં રહેતો.

    આ વખતે પમ્મીનો પત્ર આવતા ફરી ઘર આખામાં ખળભળાટ મચ્યો. મોહન પમ્મીને લઈ આવવાની તરફેણમાં હતો. માર્ચ મહિનાથી સોહન અને નિમ્મીની પરીક્ષાઓ શરૂ થતી હતી. પમ્મીના આવવાથી ભણવા-વાંચવા પર અસર થશે એ વિચારે સોહન પમ્મીને બોલાવવાના મતમાં નહોતો.

    નિમ્મી પણ સોહન સાથે સંમત હતી કારણ કે પમ્મીની આવવાથી ઘરનું વાતાવરણ અશાંત થઈ જતું. પમ્મી પોતાની દીકરીની તો વાત દૂર ખુદને માંડ સંભાળી શકતી. હતાશાને લીધે ગુમસૂમ થઈને એક રૂમમાં બેસી રહેતી પરિણામે બંનેને સાચવવામાં ઘરમાં સૌની જવાબદારી વધી જતી.

    “વાહ, શું કળયુગ આવ્યો છે, પોતાની બહેન પણ સૌને નડે છે?” સોહન અને નિમ્મીની વાતથી મા અકળાતી.

    અંતે બાપુજીએ પમ્મીને પત્ર લખીને જણાવી દીધું કે, ‘સોહન અને નિમ્મીની પરીક્ષાઓ પૂરી થશે ત્યારે એ ખુદ એને લેવા આવશે.’

    પણ, હજુ તો પત્ર પહોંચે એ પહેલાં પમ્મી આવી પહોંચી. એને જોઈને સૌના હૃદયમાં ધ્રાસ્કો પડ્યો.

    એ દિવસે ઘરમાં આનંદનું વાતાવરણ હતું. મોહને નિમ્મીના વિવાહ અંગે વાત કરવા એના એક પરિચિત પરિવારને જમવાનું આમંત્રણ પાઠવ્યું હતું. મુલાકાતના બહાને એ લોકો ઘર અને નિમ્મીને જોઈ લે એવી એની ઇચ્છા હતી.

    ઘર અને નિમ્મીને સજાવીને શીલાએ સાસુમાને પણ તૈયાર કર્યા. મહેમાનોની આગતાસ્વાગતા શરૂ જ થઈ હતી ને પમ્મી આંધીની જેમ આવીને વાવાઝોડાની જેમ વરસી.

    “મને ત્યાં ભઠ્ઠીમાં છોડીને અહીં તમે સૌ મહેમાનોને બોલાવીને મઝા માણો છો? કેટલા પત્રો લખ્યા, પણ કોઈએ ખબર લેવાની તસ્દી સુદ્ધાં ના લીધી કે પમ્મી જીવે છે મરી ગઈ. હું આટલી ભારે પડતી હતી તો હાથ-પગ બાંધીને મને કૂવામાં જ ફેંકી દેવી હતી ને? તમારી પાસે આપવા જેટલું કંઈ હતું નહીં તો મારા લગ્ન કરવાની જરૂર ક્યાં હતી?”  પમ્મીનો શ્વાસ ધમણની જેમ ફૂલતો હતો.

    મહેમાનોની હાજરીમાં જે તમાશો થયો એનાથી સૌ અત્યંત ભોંઠા પડી ગયાં. અનેકવાર ક્ષમાયાચના માંગીને મહેમાનોને વિદાય કર્યા. નિમ્મી માટે એમનાં તરફથી શું જવાબ આવશે એ તો નિશ્ચિત જ હતું.

    મહિનાના આખરી દિવસો હતા છતાં નિમ્મીના ભવિષ્ય માટે થઈને મોહને મહેમાનગતિ માટે જેમતેમ કરીને સગવડ કરી હતી. મોહનના કર્યા-કારવ્યા પર પાણી ફરી ગયું. ઘરમાં માતમ જેવું વાતાવરણ છવાઈ ગયું.

    મા અને શીલા સિવાય સૌએ પમ્મીની ઉપેક્ષા કરી હોય એમ પોતપોતાનાં કામે વળગ્યાં.

    બે દિવસ તો પમ્મી શાંત રહી શકી, પછી લાવાની જેમ ઉકળવા માંડી.

    “લાગે છે કે મારું અહીં આવવું કોઈને ગમ્યું નથી. આવું અપમાન થશે એવી ખબર હોત તો મારા જ ઘરમાં અપમાન સહન કરીને બેસી રહેત કે પછી નાનીમોટી નોકરી શોધી લેત.”

    “હા, ભાઈ-ભાભીની છાતી પર મગ દળવા કરતાં તો નોકરી જ શોધી લેવી જોઈતી હતી. જ્યારે મન થાય ત્યારે ચાલી આવે છે, ક્યાં સુધી તારા માટે સૌએ હેરાન થવાનું? ઘરમાં એક બીજી છોકરી પણ છે જેને પરણાવવાની છે, એટલી તો તને ખબર હોવી જોઈએ.” આ વખતે તો સોહને સંભળાવ્યું.

    “તારા ઘેર આવું ત્યારે આટલો રોફ દેખાડજે. અત્યારે તો મારા પિતાના ઘેર આવું છું.”

    “પિતાનું ઘર….? વિચારી જોજે.” કહીને સોહન ઘરની બહાર ચાલ્યો ગયો. નાનો હતો, અપરણિત હતો એટલે આગળપાછળનું વિચાર્યા વગર પોતાનો ઉકળાટ ઠલવવા જેટલી સ્વતંત્રતા લઈ લીધી.

    સોહન આટલું બોલી ગયો છતાં બાપુજી કંઈ જ ન બોલ્યા એ વાતે પમ્મી સ્તબ્ધ હતી. જેમના આધારે, વગર વિચારે પોતે ચાલી આવી હતી એમણે પણ સોહનને બોલતા ન રોક્યો એ વિચારે પમ્મીનો આઘાત બેવડાયો.

    “બાપુજી….?”

    “હું  શું કરું પમ્મી ? શક્ય હતું ત્યાં સુધી પહોંચી વળવા પ્રયાસ કર્યા, પણ હવે આ બુઢ્ઢા બાપમાં એટલી તાકાત રહી નથી કે, આ બધું સંભાળી શકે. મારાં પેન્શનમાંથી દવાઓ જ માંડ આવે છે. દીકરાના ભરોસે દિવસો કાઢું છું ત્યાં એના માથે કેટલો ભાર વધારું?  પમ્મી દીકરા, અમે તારા જન્મ માટે જવાબદાર છીએ. કર્મની ગતિ તો તારે જ ભોગવવી પડશે. સુખ કે દુઃખ જે નસીબમાં લખાયું છે એ તો તારા ઘરે રહીને ભોગવ્યા સિવાય છૂટકો જ નથી.  આમ ને આમ ચાલશે તો નિમ્મીના વિવાહ કેવી રીતે કરીશું?”

    ચાર દિવસ પછી સોહન સાથે પમ્મીને સાસરે મોકલી ત્યારે બાપુજીને લાગ્યું કે જાણે દીકરીને અંતિમ વિદાય ના આપી રહ્યા હોય !

    નથી ને કાલે કશું અજુગતું બન્યું, પમ્મીના સાસરિયાઓએ એની સાથે કશું અઘટિત કર્યું તો એમાં પોતે પણ બરાબરના હિસ્સેદાર જ ગણાશે.


    માલતી જોશી લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • વાદ્યવિશેષ (૩૯) – તાલવાદ્યો (૪) : ઢોલકી, નાળ અને માદલ

    ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    ગઈ કડીમાં આપણે ઢોલકનો પરિચય કર્યો. રસપ્રદ બાબત એ છે કે ઢોલક જેવી જ મૂળભૂત રચના ધરાવતાં અન્ય તાલવાદ્યો પણ છે. બહુ ઝીણી નજરે જોઈએ તો જ એ બધાં વચ્ચેનો તફાવત ખ્યાલ આવી શકે છે. આવાં અલગઅલગ તાલવાદ્યોના વાદનની શૈલી થોડાઘણા અંશે જુદી પડતી રહે છે. વળી દરેકના બોલ પણ જુદા પડતા હોય છે. આ કડીમાં આપણે તે પૈકીનાં ત્રણ – ઢોલકી, નાળ અને માદલ- વિશે વાત કરીએ.

    ઢોલકી મોટા ભાગે મહારાષ્ટ્રના લાક્ષણિક લોકનૃત્ય લાવણી સાથે વગાડવામાં આવે છે. ઢોલક કરતાં કદમાં નાની અને પરિણામે વજનમાં હલકી હોવાથી તેને આસાનીથી બન્ને છેડે પાતળી દોરડી વડે બાંધી, ગળામાં પહેરી, કલાકારો નાચતા કૂદતા વગાડી શકે છે.

    ઢોલકી

               ઢોલકી

    ઢોલકીનું વાદન કેવું હોય તેનો અંદાજ આ ક્લીપ પરથી આવી શકશે.

    નાળ અને ઢોલકી કદમાં અને દેખાવમાં લગભગ સરખાં હોય છે. કેટલાક વિસ્તારોમાં એક જ તાલવાદ્યને નાળઢોલ તરીકે ઓળખવામાં આવે છે. પણ જાણકારોના મત પ્રમાણે ઢોલકી કરતાં નાળનો દાંયા તરીકે ઓળખાતો ભાગ વધુ સાંકડો હોય છે. આમ હોવાથી તે બાજુએ વગાડવાથી નિષ્પન્ન થતો ધ્વનિ સરખામણીએ તીવ્ર હોય છે.

    નાળ

    નાળનો વ્યાપક ઉપયોગ પંજાબી લોકનૃત્યો સાથે થતો હોય છે. નાળના અવાજનો કંઈક અંદાજ આ વિડીઓ ક્લીપમાં આવી શકશે.

    https://www.youtube.com/watch?v=RlnkOo3oUIQ

    માદલ દેખાવે ઢોલકીનું જ નાનું સ્વરૂપ હોય તેમ જણાય છે. જો કે તેના બોલ અને વાદનની શૈલી ખાસ્સાં અલગ પડે છે. નેપાળ અને આસપાસના વિસ્તારોમાં નાળ એક લોકવાદ્ય તરીકે ખુબ જ વ્યાપક પ્રમાણમાં પ્રચલિત છે. ફિલ્મી વાદ્યવૃંદમાં માદલને સ્થાન આપવાનું શ્રેય રાહુલદેવ બર્મન અને તેમના સહાયક મનોહારી સિંહને જાય છે. રણજીત ગઝમેર નામના એક યુવાન માદલવાદકને તેઓ કલકત્તાથી મુંબઈની ફિલ્મી દુનિયામાં લઈ આવ્યા. આ નાનકડા વાદ્ય થકી કેટલાંયે ફિલ્મી ગીતો સાથે તાલના વિશિષ્ટ પ્રયોગો થયા છે.

    માદલ

    માદલવાદનની આ ક્લીપ થકી તેના અવાજનો ખ્યાલ આવી શકશે.

    https://www.youtube.com/watch?v=7O1EWGNyynQ

    ઉલ્લેખનીય છે કે આ ત્રણમાંથી એકેય વાદ્ય સ્વતંત્ર રીતે શાસ્ત્રીય પદ્ધતિએ તાલ વગાડવા માટે અથવા તો શાસ્ત્રીય વાદન/ગાયન સાથે તાલ પૂરાવવા માટે ઉપયોગે નથી લેવાતું.

    હવે કેટલાંક ફિલ્મી ગીતો સાંભળીએ, જેમાં આ પ્રકારનાં તાલવાદ્યોનો ઉપયોગ થયો હોય. નોંધનીય છે કે ફિલ્મી વાદ્યવૃંદોમાં એક કરતાં વધારે પ્રકારનાં તાલવાદ્યો ઉપયોગે લેવાતાં હોય છે. આથી કોઈ ગીતમાં ચોક્કસ એક તાલવાદ્યનો અવાજ સંપૂર્ણપણે અલગ પાડી શકાય એવું ક્યારેક જ બનતું હોય છે.

    ૧૯૪૯માં પ્રદર્શિત થયેલી ફિલ્મ મહલ માટે સંગીતકાર ખેમચંદ પ્રકાશે તૈયાર કરેલાં ગીતો આજે પણ ભારે લોકચાહના ધરાવે છે. તેમાંનું એક ગીત ‘એક તીર ચલા દીલ પર મેરે’ સાંભળીએ. ગાયકીની સાથે તાલ પૂરાવતાં તાલવાદ્યોમાં નાળની ચાટીનો તીવ્ર અવાજ પારખી શકાય છે.

    ૧૯૪૯ની સાલની  ફિલ્મ રીમઝીમમાં પણ ખેમચંદ પ્રકાશનું જ સ્વરનિયોજન હતું. આ ફિલ્મનું ગીત ‘ના તુમ આયે ના નીંદ આયી’ પણ નાળના તાલથી સજાવાયેલું છે.

    ફિલ્મ આવારા (૧૯૫૧)ના સ્વપ્નગીતના બીજા ભાગ ‘ઘર આયા મેરા પરદેસી’ના રેકોર્ડીંગ સમયે રાજ કપૂર અને સંગીતકાર જોડી શંકર-જયકિશન તાલવાદંનથી સંતુષ્ટ નહોતા. આ સમયે આખરી ઉપાય તરીકે સહાયક સંગીતકાર દત્તારામે લાલા ભાઉ નામેરી એક સાવ અજાણ્યા ઢોલકીવાદકને તેડાવ્યા. તે કલાકારે પોતાના કસબ વડે ગીતમાં જાન ભરી દીધો. ગીત સાંભળતાં જ ઢોલકીના બોલ સ્પષ્ટ તરી આવે છે.

    ફિલ્મ દાગ (૧૯૫૨)ના ગીત ‘દેખો આયા કૈસા જમાના’ સાથે ઢોલકીનો પ્રયોગ માણી શકાય છે. સંગીત શંકર-જયકિશને તૈયાર કર્યું હતું.

    https://www.youtube.com/watch?v=Sf6dbWkCEHg&list=RDSf6dbWkCEHg&start_radio=1

    હવે માણીએ ૧૯૭૧ની ફિલ્મ હરે રામા હરે ક્રિશ્નાનાં બે ગીતો, જેના વાદ્યવૃંદમાં માદલનો પ્રયોગ પહેલી વાર થયો. પહેલાં સાંભળીએ ‘કાંચી રે કાંચી રે’. નેપાળી પૃષ્ઠભૂમી પર ફિલ્માવાયેલા આ ગીત સાથે માદલના બોલ બરાબર તાલ મિલાવે છે. અગાઉ જણાવ્યું તેમ આ ગીતના વાદ્યવૃંદમાં રણજીત ગઝમેરે પહેલી વાર માદલ વગાડ્યું અને તેમની કાયમી ઓળખાણ કાંચા તરીકે જ બની રહી. વળી તેઓ રાહુલાદેવની ટીમના કાયમી સભ્ય બની રહ્યા.

    આ જ ફિલ્મના અન્ય એક ગીત ‘ગલીયોં મેં ઘૂમો, સડકોં પે ઝૂમો’ સાથે પણ ઢોલકી અને માદલના બોલ સંભળાતા રહે છે.

     ફિલ્મ દો ફૂલ (૧૯૭૩)ના ગીત ‘મુથુકોડી કંવારી હડા’ સાથે માદલના બોલ આસાનીથી પારખી શકાય છે. સંગીત રાહુલદેવ બર્મનનું છે.

    ૧૯૭૩ની જ ફિલ્મ દાગ માટે ગીતો લક્ષ્મીકાંત-પ્યારેલાલે તૈયાર કર્યાં હતાં. તેનું ગીત ‘મૈં તો યાર મનાના ની’ માણીએ. પરદા ઉપર કલાકારો ઢોલ વગાડતા દેખાય છે, પણ ઢોલકીના ખુબ જ પ્રભાવક બોલ કાને પડતા રહે છે

    ફિલ્મ ઈમાન (૧૯૭૪)નું ગીત ‘કૈસે મીટ્ટી કે માધવ સે પાલા પડા હૈ’ સાંભળીએ. તાલવાદ્ય તરીકે ઢોલકી અને માદલના બોલ સાંભળી શકાય છે. સંગીત રાહુલદેવ બર્મનનું છે.

    https://www.youtube.com/watch?v=susUIXy5bUA&list=RDsusUIXy5bUA&start_radio=1

    ૧૯૭૮ના વર્ષમાં પરદા પર રજૂ થયેલી ફિલ્મ ઘરનું એક ગીત ‘તેરે બિના જીયા જાયે ના’ માણીએ. રાહુલદેવ બર્મનના સ્વરનિયોજનમાં તૈયાર થયેલા આ ગીત સાથે માદલનો પ્રયોગ ખુબ જ કર્ણપ્રિય બની રહે છે.

    https://www.youtube.com/watch?v=-W3hN8dgAy4&list=RD-W3hN8dgAy4&start_radio=1

    આ કડીની આખરમાં માદલના બોલ વડે સજાવાયેલું ૧૯૮૧ની ફિલ્મ ઝમાને કો દીખાના હૈનું ગીત ‘હોગા તુમ સે પ્યારા કૌન’ સાંભળીએ. સંગીત રાહુલદેવ બર્મનનું છે.

    આવતી કડીમાં નવાં ગીતો સાથે મળીશું.


    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • ઠંડા ચાબખા વધુ વાગે

    ધિક્કારનાં ગીતો

    દ્વેષ જ્યારે ગુસ્સા ને બદલે ઠંડકથી વ્યક્ત કરવામાં આવે ત્યારે પણ દઝાડી જ શકે.

    દીપક સોલિયા

    ફિલ્મ અનામિકાના આકરા દ્વેષ-ગીત ‘મેરી ભીગી ભીગી સી’ વિશે વાત કરી, જેમાં દાઝે ભરાયેલા પુરુષે મધૂર ટ્યૂનમાં ગાતાંગાતાં ‘આગ સે નાતા’ અને ‘નારી સે રિશ્તા’ને એકસમાન ગણાવી દીધાં. એટલેથી ન અટકતાં એણે સ્ત્રીને શાંતિથી શ્રાપ પણ આપી દીધો કે જા, તું રસ્તા પર નીકળીશ ત્યારે લોકો તારા પર હસશે, થૂથૂ કરશે. તેરી બેવફાઈ પે હંસે જગ સારા, ગલી ગલી ગુઝરે જિધર સે…

    આવો શ્રાપ આમ તો નારીદ્વેષની હાઈટ ગણાવો જોઈએ. પણ એવું નથી. નારીદ્વેષ આનાથી પણ વધુ ઊંચાઈ સર કરી શકે છે. એ નારીનું સર કાપી શકે છે. રોષે ભરાયેલો પુરુષ માત્ર શ્રાપ આપીને અટકવાને બદલે નારીની હત્યા કરવા સુધી પહોંચે અને હત્યા કર્યા બાદ લાશના નિકાલ વખતે ઠંડી ક્રૂરતા અપનાવે એવા કિસ્સાઓની ઝાઝી નવાઈ નથી. હાલમાં બહુ ચગેલા આફતાબ-શ્રદ્ધાના કિસ્સામાં ખૂન કરવાની કે દેહના ટુકડા કરવાની ઘટનાથી પણ વધુ થિજાવનારી બાબત છે દેહના ટુકડાનો હિસાબ. જો આફતાબે 34 પણ નહીં અને 36 પણ નહીં, પરંતુ ખરેખર 35 ટુકડા કર્યા હોય તો સ્વાભાવિક છે કે એકએક ટુકડો તેણે ગણીને રાખ્યો હશે. ગણવા માટે ફોકસ જોઈએ. ગણતરી વખતે તેનું મગજ જરાય આડુંઅવળું નહીં ફંટાયું હોય. શક્ય છે કે તેણે ટુકડા કરતી વખતે નહીં, બલ્કે બાદમાં નિકાલ કરતી હિસાબ કર્યો હોયઃ આજે ત્રણ ટુકડાનો નિકાલ કર્યો… આજે એક… આજે બે… અને પછી આખા દેહના બધા જ ટુકડાનો નિકાલ થઈ ગયા બાદ તે સરવાળો કરવા બેઠો હશે અને એમાં કુલ આંકડો આવ્યો હશે, 35. ટૂંકમાં, ટુકડાઓનો હિસાબ કરતી વખતે દાખવવામાં આવેલી ઠંડક… એ છે આ ભયાનક ઘટનાક્રમનું સૌથી ચિલિંગ-થિજાવનારું પાસું. આગ દઝાડે જ, પરંતુ ઠંડક પણ ઓછી ‘કરપીણ’ નથી હોતી.

    દ્વેષની અભિવ્યક્તિને પણ આ વાત લાગુ પડે છે. નારી પ્રત્યેનો દ્વેષ વ્યક્ત કરવા માટે પુરુષ ક્યારેક ગરમીને બદલે નરમીની રીત અપનાવતો હોય છે. એ નારીની સીધી ટીકા કરવાને બદલે પ્રેમના જોખમ ગણાવીને અને ડાહીડાહી, શાણીશાણી વાતો કરીને આડકતરી રીતે સ્ત્રીનો વિરોધ કરતો હોય છે કે સ્ત્રીથી પિંડ છોડાવવા મથતો હોય છે.

    આવું એક ગીત છે, ફિલ્મ મજબૂરનું. ગીતના શબ્દો છે, આદમી જો કહતા હૈ, આદમી જો સુનતા હૈ…. ગીતમાં હીરો પહેલી નજરે તો એકદમ શાણપણભરી વાત કરે છે કે માણસે બોલવામાં તો ઠીક, સાંભળવામાં પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આજે આપણે જે બોલીએ-સાંભળીએ છીએ અને આજે આપણે જે સદદુઆ-બદદુઆ આપીએ છીએ તે પછી જિંદગીભર આપણો પીછો કરે છે (માટે તું મારો પીછો છોડી દે, પ્લીઝ).

    શબ્દો ધ્યાનથી વાંચોઃ

    આદમી જો કહતા હૈ, આદમી જો સુનતા હૈ
    ઝિંદગીભર વો સદાએં પીછા કરતી હૈ
    આદમી જો દેતા હૈ, આદમી જો લેતા હૈ
    ઝિંદગીભર વો દુઆએં પીછા કરતી હૈ.

    માટે, આપણે બોલવામાં તો ઠીક સાંભળવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. કોઈને શાંતિથી સાંભળીએ તો પણ પ્રેમ થઈ શકે. પછી પ્રેમ પીછો કરે. કોઈનાં સિક્રેટ્સ સાંભળ્યા બાદ એ સિક્રેટ આપણાથી ક્યાંક લીક ન થઈ જાય તેનું ધ્યાન રાખવું એ આપણી જવાબદારી બની રહે છે અને એ સિક્રેટ બીજું કોઈ લીક કરે તો પણ આરોપ આપણા પર આવી શકે કે આણે ચાડી ફૂંકી. માટે, બોલવામાં તો ઠીક સાંભળવામાં પણ ચેતવું. અને કોઈનું ભલું-બૂરું ઇચ્છવામાં પણ ચેતવું, કારણ કે આપણી શુભેચ્છાઓ કે આપણી હાય કામ કરી પણ જાય… કંઈ કહેવાય નહીં.

    આ આખા ‘ઉપદેશ’માં ક્યાંય નારીદ્વેષ શોધ્યો પણ ન જડે. છતાં, આ ગીત દ્વારા નાયક (અમિતાભ) નાયિકા (પરવીન બાબી)ને જે કહેવા માગે છે તે એ છે દૂર રહે મારાથી, પ્રેમમાં પડવા જેવું નથી, રૂપાળાં સપનાં જોવાં જેવાં નથી.

    કોઈ ભી હો હર ખ્વાબ તો સચ્ચા નહીં હોતા
    બહોત ઝ્યાદા પ્યાર ભી અચ્છા નહીં હોતા
    કભી દામન છુડાના હો તો મુશ્કિલ હો
    પ્યાર કે રિશ્તેં ટૂટે તો, પ્યાર કે રસ્તે છૂટે તો
    રાસ્તે મેં ફિર વફાએં પીછા કરતી હૈ.

    ભાઈ ભારે પ્રામાણિક. ચોખ્ખું કહી દે છે કે ખોટાં સપનાં જોયાં હોય અને બહુ પ્રેમ કર્યો હોય તો દામન-પિંડ છોડાવવાનું કામ અઘરું બની જાય છે, કારણ કે છૂટતી વખતે  અગાઉનો અલ્પ સમયનો પ્રેમ પીછો કરે, પીડા આપે.

    એક ચોક્કસ સ્ત્રીને દૂર ધકેલવા માટે આટલું કહ્યા બાદ હીરો એકદમ ઓવરઓલ ફિલોસોફી, વ્યાપક તત્ત્વચિંતન પર ઉતરી જાય છેઃ

    કભી કભી મન ધૂપ કે કારણ તરસતા હૈ
    કભી કભી ફિર ઝૂમ કે સાવન બરસતા હૈ
    પલક ઝપકેં યહાં મૌસમ બદલ જાયે
    પ્યાસ કભી મિટતી નહીં, એક બૂંદ ભી મિલતી નહીં
    ઔર કભી રિમઝિમ ઘટાએં પીછા કરતી હૈ.

    મળતું કશું નથી ને માથે ઘણું પડે છે… ખાયાપિયા કુછ નહીં, ગિલાસ ફોડા બારાહ આના… આવી આકરી વાત કવિ કાવ્યાત્મક ઢબે કહે છેઃ એક બૂંદ પણ નથી મળતી નથી અને જળથી ભરેલાં વાદળાં પીછો કરે છે.

    ટૂંકમાં, હે સ્ત્રી, દૂર રહે મારાથી, પ્રેમમાં પડવાનું કામ આપણે રહેવા દઈએ.

    અલબત્ત, ફિલ્મ મજબૂરમાં તો હીરો પોતાની મજબૂરીને લીધે, જાનલેવા બિમારીની જાણ થવાને લીધે હિરોઈનને પ્રેમથી દૂર કરવા કહી રહ્યો છે, પરંતુ આ બધું બૅકગ્રાઉન્ડ જાણ્યા વિના કોઈ આ ગીત સાંભળે તો તેને એવું લાગી શકે કે પ્રેમમાં પડવામાં બહુ સાર નથી… નારીથી દૂર રહેવું જ સારું…

    અને આમ પણ કોઈએ યોગ્ય રીતે જ કહ્યું છે તેમ, પ્રેમનો સામેનો છેડો દ્વેષ નથી. પ્રેમના સામેના છેડે છે નિર્લેપતા, ઇનડિફરન્સ… એક વ્યક્તિને ધિક્કારવા કરતાં પણ વધુ રોષયુક્ત કૃત્ય એ છે કે એના અસ્તિત્વને જ નકારી કાઢવું. ‘તું ખરાબ છે… તું બેવફા છે… તું પાપીણી છે…’ એવા શબ્દો કરતાં પણ વધુ ખતરનાક શબ્દો આ છેઃ ‘તું મારા માટે કશું છે જ નહીં… તું વળી કોણ… મારે કંઈ કહેવું નથી… મારે કંઈ સાંભળવું નથી…’

    માટે આ એકદમ નિર્દોષ લાગતું ગીત આમ જુઓ તો ભારે ખતરનાક છે, જે કહે છેઃ આદમી જો કહતા હૈ, આદમી જો સુનતા હૈ, ઝિંદગીભર વો સદાએં પીછા કરતી હૈ. માટે, છોડો પ્રેમ-બ્રેમ.

    https://youtu.be/J4i7hGkR3g8?si=eS8p8MRVGe43mMtp


    (ક્રમશઃ)


    શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com

  • ચકલી

    લતા હિરાણી

     

    એક હતી ચકી.
    ચીં ચીં ચીં ચીં કર્યા કરે.

    આમ ઊડે તેમ ઉડે અને ફેરફુંદરડી ફરે.
    ચકી ની મમ્મી કહે – તું હવે મોટી થઈ છે. હવે તારે સ્કૂલે જવાનું છે અને ખૂબ ભણવાનું છે.
    ચકી કહે – ના રે ના મારે તો કંઈ ભણવું નથી .

    એ તો ક્યાંક નળ ટપકતો હોય તો એની નીચે જઈને ફરરરર કરીને નહાઇ લે.

    નાનકડું ખાબોચિયું ભરાયું હોય તો એમાં બેસે. પાંખો કરે ફરરરર.. ચારેબાજુ છાંટા ઉડાડતી જાય અને ઉડી જાય.
    આખો દિવસ ચકી રમ્યા કરે, એની બહેનપણીઓ સાથે ભમ્યા કરે અને ગીતો ગાયા કરે.

    એક દિવસ ચકી ઉડતી ઉડતી જંગલમાં ગઈ. જંગલમાં એને પરી મળી. પરી તો બહુ સુંદર.

    એને જોતાં જ ચકી ખુશ ખુશ થઈ ગઈ. – વાહ રે વાહ, કેવી સુંદર પરી ! ભૂરા ભૂરા વાંકડિયા વાળ અને રંગબેરંગી પાંખો ! વાહ, વાહ’ એને મન થયું કે હું પણ પરી જેવી સુંદર થઈ જાઉં.

    પરી જેવું બનવા માટે શું કરવું? મોટી મોટી આંખોવાળી પરી પાસે બે પાંખો હતી. પાંખો સુંદર અને રંગબેરંગી.

    ચકીને થયું, મારી પાસે બે પાંખો તો છે જ. પરીની પાંખો મોટી તો મારી પાંખો નાની, પણ પાંખો છે તો ખરી ! હું પણ એને શણગારીશ. આ ભૂખરી ભૂખરી પાંખો સારી નથી લાગતી.

    ચકી જંગલમાં ખૂબ ફરી. નાના નાના સુંદર રંગબેરંગી પીંછાઓ શોધ્યા. એને ઘણાં મોરપીંછ પણ મળ્યા. બધું વીણીને એ ઘેર લઈ ગઈ.

    ચકીની મમ્મી કહે – આ બધું શું લાવી ?

    ચકી કહે – મારે પરી જેવું સુંદર બનવું છે.

    મમ્મી કહે – તું સુંદર જ છે.  ચકલી જેવી સુંદર. કોઈના વાદ ના કરાય.

    પણ ચકી ન માની.

    એણે કાતર લઈને રંગીન પીંછાઓને નાનાં નાનાં કાપ્યાં.

    મોરના પીંછામાંથી સુંદર રંગીન ચાંદલા કાતર્યા અને  પછી ગુંદર લઈને બેઠી.

    એણે એની એક ફ્રેન્ડને બોલાવી અને કહ્યું કે તું આ બધું મારી પાંખો પર ચોંટાડી દે. પેલીએ તો એમ કરી દીધું !

    ચકીને થયું – હું અરીસામાં તો જોઉં કેવી લાગું છું ?

    એ અરીસા તરફ ઊડવા ગઈ પણ ઉડાયું જ નહીં. પાંખો ભારે થઈ ગઈ હતી. એ ધીમે ધીમે ચાલતી ચાલતી ગઈ. એની પાંખોનો વજન વધી ગયું હતું. એને ચાલતાં યે થાક લાગતો હતો. માંડ માંડ એ અરીસા સુધી પહોંચી.

    એણે અરીસામાં જોયું. એને જરાય ગમ્યું નહીં, એ બહુ વરવી લાગતી હતી. જરાય સારી લાગતી નહોતી.

    એણે ગુસ્સે થઈને અરીસા પર ચાંચો મારવા માંડી. અરીસો બિચારો શું કરે એ તો જડ વસ્તુ !

    ચકી વધારે ગુસ્સે થઈ. એણે વધારે જોરથી ચાંચો મારી ને એની ચાંચ તૂટી ગઈ.

    એવામાં એની મમ્મી આવી – અરે, આ શું કરે છે?

    ચકી રડવા લાગી  – હું પરી જેવી સરસ નથી લાગતી.

    ચકીની મમ્મીએ એને સમજાવી – બેટા, તું સાવ ખોટું વિચારે છે. તું સરસ જ છે. એ પરી જેવી સરસ. તું ચકલી જેવી સરસ. એ જુદી અને તું પણ જુદી. આવું ના કરાય બેટા.

    પછી એની મમ્મીએ માંડ માંડ ચકીની પાંખો ધોઈ. ગુંદરથી ચિપકાવેલા બધાં પીંછા અને ચાંદલા કાઢ્યા.
    ચકીને બહુ દુઃખ્યું પણ શું થાય ?

    એણે સંકલ્પ કર્યો કે હવે કદી આવું નહીં કરું હવે કદી કોઈના વાદ નહીં કરું.

    મમ્મી કહે – તો હવે શું કરીશ ?

    ચકી કહે – વડદાદા પાસે જઈને ભણીશ, ગીતો ગાઈશ અને પાણીમાં નહાઈશ.

    મમ્મી – વાહ મારી વહાલી દીકરી !

    મમ્મીએ ચકીને બાથ ભરીને પપ્પી કરી લીધી.


    ( ‘એક હતી વાર્તા’માંથી)


     

  • મોબાઈલમાં વાઘ

    ગિરિમા ઘારેખાન

     રાજુ અને મોહિત બે ભાઈઓ હતા. રાજુ તેર વર્ષનો અને મોહિત આઠ વર્ષનો. એ લોકો એક નાના શહેરમાં રહેતા હતા. શાળામાં વેકેશન પડ્યું હતું. એમના ઘણા મિત્રો એમના મમ્મી-પપ્પા સાથે ફરવા ઉપડી ગયાં હતાં. કોઈ સીમલા ગયું હતું તો કોઈ ગોવા. કોઈ વળી યુરોપ કે અમેરિકા પણ ગયાં હતાં. રાજુ અને મોહિતને ઘરમાં કંટાળો આવતો હતો. રાજુ તો ક્યારેક એના મોબાઈલ ઉપર થોડી રમતો રમી લેતો. પણ નાનો મોહિત બહુ કંટાળતો હતો.

    એક દિવસ ગામડે રહેતા એમના મામા એમને ઘેર આવ્યા. એમણે એમના ભાણીયાઓને કહ્યું, ‘ચાલો મારી સાથે ગામડે. ત્યાં ખેતરોમાં ફરો, સાંકળ સાતતાળી, મોઈ દંડો, નાગોળચું, જેવી દેશી રમતો રમો. આખો દિવસ ટી. વી. જોયા કરો છો એના કરતાં તમને ત્યાં બહુ મજા પડશે.’

    રાજુ અને મોહિત તો મામાની સાથે પહોંચી ગયા એમના ગામડે. ત્યાં એમને નવા ભાઈબંધો પણ મળી  ગયાં. ખાસ કરીને મોહિતને તો એના આ નવા મિત્રો સાથે નવી નવી રમતો રમવામાં બહુ આનંદ આવતો. આંબલી પીપળીની રમતમાં ઝાડ ઉપર ચડીને પછી નીચે ભૂસકા મારવાનું એને બહુ ગમતું. મામાના ગામની બહારથી જ એક જંગલ ચાલુ થતું હતું. એટલે ત્યાં ઝાડ પણ બહુ હતાં.

    હવે બન્યું એવું કે થોડા દિવસથી આ ગામમાં એક દીપડો પેધો પડ્યો હતો. એ રાત્રે ગામમાં આવતો અને કોઈની બકરી, કોઈનું ઘેટું, જે નાનું પ્રાણી એના હાથમાં આવે એને ઉઠાવી જતો. લોકો બહુ ડરી ગયાં હતાં. બધાંએ પોતપોતાના બાળકોને કહી દીધું હતું કે અંધારું થાય એ પહેલાં ઘરમાં આવી જવાનું.

    એક દિવસ સાંજે મામા ખેતરેથી ઘેર આવ્યા ત્યારે મોહિત ઘરમાં ન હતો. રાજુ મામીને કામમાં મદદ કરતો હતો. મામાએ પૂછ્યું,

    ‘રાજુ, બેટા, મોહિત કેમ દેખાતો નથી ?’

    ‘મામા, એ બાજુવાળા કોકિલામાસીને ઘેર રમવા ગયો છે.’ રાજુએ જવાબ આપ્યો.

    ‘તો તો એમના ભરત સાથે રમતો હશે. હમણાં ઘેર આવી જશે.’

    કહીને મામા નહાવા માટે ગયા. મામી ગાયોને દોહવા ગયાં. અંધારું થવા માંડ્યું હતું. હવે રાજુને મોહિતની ચિંતા થવા માંડી. મોહિત ક્યારેય કોઈને ઘેર આટલું બધું રમતો ન હતો. એ બાજુવાળા કોકિલા માસીને ઘેર પૂછવા ગયો. ત્યાં એમના દીકરા ભરતે થોડું ડરતાં ડરતાં જણાવ્યું કે એણે અને મોહિતે દોડવાની હરીફાઈ કરી હતી અને બંને જંગલ તરફ દોડ્યા હતા. પણ થોડા સમય પછી મોહિત બહુ આગળ નીકળી ગયો અને દેખાતો બંધ થઇ ગયો એટલે એ તો ઘેર પાછો આવી ગયો હતો.

    હવે રાજુને મોહિતની ખૂબ ફિકર થઇ ગઈ. એનો ભાઈ જંગલમાં ભૂલો પડી ગયો હશે તો! ત્યાં એનો ભેટો દીપડા સાથે થઇ જશે તો ! એણે એના નાના ભાઈને શોધવા જવું જ જોઈએ અને હમણાં જ જવું જોઈએ.  એ તો મામાને જણાવવા પણ ન રહ્યો અને નીકળી પડ્યો જંગલ તરફ.

    જંગલમાં ઘણા બધા વૃક્ષો હતાં એટલે અંધારું વધારે લાગતું હતું. પોતપોતાના માળામાં પાછા ફરી ગયેલા પંખીઓનો કલશોર સંભળાતો હતો. ઝાડીઓમાંથી તમરાંનો અવાજ આવતો હતો અને ચારે બાજુ આગિયા ઊડી રહ્યાં હતાં. રાજુને ડર તો લાગતો હતો પણ નાના ભાઈને યાદ કરીને એ હિંમત મેળવી લેતો હતો. એના ખીસામાં એનો મોબાઈલ હતો. એણે મોબાઈલ હાથમાં લઈને એની બેટરી ચાલુ કરી અને એના અજવાળામાં આગળ વધતો રહ્યો.

    ત્યાં તો અચાનક નજીકની ઝાડીમાંથી દીપડાની ત્રાડ સંભળાઈ. રાજુ થથરી ગયો. હવે શું કરવું ? એ જો દોડવા માંડે તો પણ દીપડો એની ઝડપથી થોડી વારમાં જ એની નજીક આવી જાય. ત્યારે રાજુને એના મોબાઈલમાં રહેલી એક એપ યાદ આવી ગઈ. એના પપ્પાએ જંગલના પ્રાણીઓને બહુ નજીકથી જોવા માટે એ એપ ડાઉન લોડ કરી આપી હતી. એ ચાલુ કરે તો વાઘ, સિંહ, જેવા પ્રાણીઓ એમના સાચુકલા રંગ અને કદ સાથે સામે જ આવીને ઊભા રહ્યાં હોય એવું લાગતું.

    દીપડાનો અવાજ હવે નજીક આવવા માંડ્યો હતો. રાજુએ મોબાઈલની પેલી એપ ચાલુ કરી. ત્યાં તો દીપડાની તગતગતી બે આંખો દેખાઈ. રાજુએ એપમાંથી વાઘને કાઢીને એની અને દીપડાની વચ્ચે   મૂકી દીધો. હવે સાચૂકલો લાગતો વાઘ દીપડા તરફ મોં ફાડીને ઊભો હતો અને ત્રાડ નાખી રહ્યો હતો. રાજુના હાથના હલાવવાથી એ ધીરે ધીરે દીપડા તરફ આગળ વધી રહ્યો હતો. એ જોઇને દીપડો તરત જ પાછો ફરી ગયો અને ઝાડીઓમાં ગૂમ થઇ ગયો. એ એપ ચાલુ જ રાખીને રાજુ ઘર તરફ વળ્યો. પણ ભાઈને એ શોધી ન શક્યો એટલે એને રડવું આવતું હતું.

    ત્યાં તો અચાનક બાજુના એક ઝાડની ઉપરની ડાળીએથી અવાજ આવ્યો, ‘ભાઈ!’

    રાજુએ ઉપર જોયું. ત્યાં ઝાડની બે ડાળીઓની વચ્ચે મોહિત બેઠેલો હતો. રાજુને જોઇને એણે લગભગ ઉપરથી ભૂસકો જ માર્યો. રાજુએ એને ઝીલી લીધો. રસ્તામાં મોહિતે એને જણાવ્યું,

    ‘ભાઈ, દોડવાની રેસમાં હું બહુ આગળ નીકળીને જંગલ સુધી પહોંચી ગયો હતો. અંધારું થવા માંડ્યું હતું. મને ઘેર પાછા ફરવાનો રસ્તો પણ યાદ આવતો ન હતો. એટલામાં મને દીપડાનો અવાજ સંભળાયો. એટલે હું ઝાડની ઊંચી ડાળી ઉપર ચડીને બેસી ગયો હતો. મને ખબર હતી કે તમે બધાં મને શોધવા આવશો જ.’

    રાજુએ મોહિતના માથે હાથ ફેરવ્યો અને એનો હાથ પકડીને ઝડપથી ઘર તરફ ચાલવા માંડ્યો. ત્યાં તો એમને શોધવા નીકળેલા મામા અને એમના મિત્રો સામે મળી ગયાં. બધાએ એમની વાત સાંભળીને એમની બહાદુરી અને સમયસૂચકતાના બહુ વખાણ કર્યા. ખાસ કરીને મોબાઈલનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરવા માટે રાજુને બહુ શાબાશી આપી.


    https://www.androidauthority.com/google-3d-animals-1150271/

    [ઉપર મોબાઈલ માં પ્રાણીઓ જોવા માટેની લીંક આપી છે.]


    [બાલ આનંદ – ઓગસ્ટ ૨૦૨૪ ]


    ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯