વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ખંડિત પ્રતિમા

    ‘વાર્તાઃ અલકમલકની’ શ્રેણીમાં સુશ્રી રાજુલબેનની વેબ ગુર્જરી પર પ્રકાશિત થઈ રહેલી આ ૧૦૦મી અનુવાદિત વાર્તા છે.

    આપણને સૌને અનેકવિધ લેખકોની વિધ વિધ વિષયોનો આસ્વાદ કરાવતા આવા અસ્ખલિત પ્રવાહમાં વહેતાં રાખવા બદલ વેબ ગુર્જરી સુશ્રી રાજુલબેનનો હાર્દિક આભાર માને છે.

    સંપાદક મડળ – વેબ ગુર્જરી


    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    પુરાતત્વ વિભાગમાં ખળભળાટ ફેલાયો હતો.

    કોઈ પ્રાચીન પ્રતિમાઓની ચોરી કરે એ સમજાય, ચોરી કરીને વેચી દે એ સમજાય, પણ આ તો અનહદ કૌતુકની એવી વાત બની હતી જે સાવ નિયમ બહારની ઘટના હતી. કાયદો હાથમાં લેનાર અન્ય કોઈ નહીં, પણ વર્ષોથી મ્યૂઝિયમની સાચવણી માટે નિયુક્ત કરેલ રામસિંહ હતો.

    પુરાતત્વ ખાતાના અધિકારી કશ્યપજી તાબડતોબ ભોપાલથી સાંચી પહોંચ્યા. સાંચીના મ્યૂઝિયમમાં ખાતાના અન્ય અધિકારીઓની સાથે રામસિંહ હાજર હતો.

    કશ્યપજીએ જોયું કે, મ્યૂઝિયમમાં મૂકેલી પ્રાચીન પ્રતિમાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું.

    “આવી બેહૂદી અને ગેરકાનૂની હરકત કોણે કરી છે?”

    ક્રોધાવેશમાં ઊંચો થયેલા કશ્યપજીના અવાજથી જાણે એ ઓરડાની દીવાલો સુદ્ધાં ખળભળી ઊઠી. હાજર સૌ અધિકારીઓની નજર રામસિંહ તરફ હતી.

    “રામસિંહ, આ મ્યૂઝિયમની જવાબદારી તમારા માથે હતી. વીસ વીસ વર્ષથી તમે આ જવાબદારી ખૂબ ચોકસાઈથી સંભાળી છે. આજ સુધી પ્રતિષ્ઠિત કહી શકાય એવી તમારી કારકિર્દી હતી. હવે રહી રહીને નિવૃત્ત થવાના સમયે આવી હરકત…?

    “જાણો છો, તમારા આ કૃત્યથી મંત્રીથી માંડીને પ્રેસને મારે જવાબ આપવો પડશે?

    “અત્યારે ને અત્યારે આ ઓરડો સીલ કરીને મારી ઑફિસમાં આવો.” કહીને કશ્યપજી લાંબી લાંબી ડાંફો ભરતા ઑફિસ તરફ ચાલવા માંડ્યા.

    વાત એમની સાચી હતી. રામસિંહના પિતાજી અહીં કામ કરતા હતા ત્યારથી એ રામસિંહને ઓળખતા હતા. શૈશવકાળમાં એ રામસિંહ સાથે સાંચીના પત્થરો અને સ્તૂપની વચ્ચે ફરતા ત્યારે રામસિંહ કશ્યપજીને કહેતા, “બાબુજી, આ પત્થરો આપણને કંઈક કહે છે.”

    “પત્થરો બોલે છે એવું કહેનાર તો તું પહેલો નીકળ્યો.” કશ્યપજી હસી પડતા.

    અને પછી બંને વચ્ચે ચર્ચા થતી.

    રામસિંહનું માનવું હતું કે પશુ-પંખીની જેમ પત્થરોની ભાષા હોય. કશ્યપજી એને પત્થરનું વિજ્ઞાન સમજાવતા. પણ, લાગણી અને બુદ્ધિ, દિલ અને દિમાગ વચ્ચે ક્યારેય મેળ નહોતો બેસતો. કશ્યપજીની તાર્કિક વાત સાથે રામસિંહની લાગણીઓને કોઈ લેવાદેવા નહોતી. ક્યારેક કશ્યપજીને  સવાલ થતો કે, રામસિંહ પત્થરોની ભાષા જાણતો કે સમજતો હશે !

    સમય જતા પુરાતત્વ અને ઇતિહાસનો અભ્યાસ કરીને કશ્યપજીએ દેશ-વિદેશ ફરીને પુરાતત્વ પર સંશોધન આદર્યું જેનાં લીધે એમને નામ અને દામ બંને મળ્યાં. ત્યારબાદ દેશમાં પાછા આવીને ભોપાલ ખાતે પુરાતત્વ ખાતામાં અધિકારીની પદવીએ જોડાયા ત્યારે રામસિંહે સાંચીના મ્યૂઝિયમમાં નોકરી લઈ લીધી હતી.

    થોડા સમય પછી કશ્યપજીને જાણ થઈ કે, અકસ્માતમાં રામસિંહે એક પગ અને એક આંખ ગુમાવી છે.

    *******

    ભોપાલથી સાંચી પહોંચતા સુધીમાં કશ્યપજીના મનમાં ભૂતકાળ સજીવ થઈ ગયો. એમને રામસિંહ પ્રત્યે પૂરેપૂરી સહાનુભૂતિ હતી, પણ એક અધિકારી તરીકે જે કાનૂની પગલાં લેવા પડે એમાં કોઈ બાંધછોડ એ કરી શકે એમ નહોતા.

    “રામસિંહ, તમે જાણો છો કે પુરાતત્વીય જણસો સાથે ચેડાં કરવા એ ગુનો છે છતાં આવું કરવા પાછળનું કારણ?”

    “સાહેબ, મને આવું કરવા માટે આ પ્રતિમાઓએ કહ્યું હતું.” કાખઘોડીની ટેકે ઊભેલા રામસિંહના અવાજમાં ડર નહીં સ્વસ્થતા હતી.

    ત્યારબાદ રામસિંહે જે વાત કરી એ કલ્પનાતીત હતી.

    રામસિંહના કહેવા મુજબ સરકારી શાળામાં મેટ્રિક સુધી અભ્યાસ કરીને અહીં નોકરી લીધી ત્યારથી એ અહીં જ રહે છે. ક્યારેક રાતની ડ્યૂટી પર હોય ત્યારે એમણે પત્થરોને એકમેક સાથે વાત કરતા હોય એવું એમણે સાંભળ્યું છે.

    પ્રતિમાઓની વાતોમાં કેટલી ઉદાસી હતી, કેટલી પીડા હતી એ સમજવા દિલ જોઈએ. કેટલીક પ્રતિમાઓને હાથ નહોતા. કેટલીકને પગ, કેટલીકને આંખ, કોઈ પ્રતિમાને કાન તો કોઈને નાક નહોતા. વળી કોઈ પ્રતિમાને માત્ર ધડ જ હતું. આ બધી ખંડિત પ્રતિમાઓને અખંડ સ્વરૂપ જોઈતું હતું.

    એક મા પાસે ચૂલો હતો પણ બાળક માટે રાંધવા આખું વાસણ નહોતું. કોઈ બાળક પાસે રમવા માટે સરખું રમકડું નહોતું. ખેડૂતનું હળ તૂટી ગયેલું હતું. રાજાનો રાજદંડ તો સૈનિકના શસ્ત્રો. એક નર્તકીની પ્રતિમાને પગ નહોતો. તો વળી કલાકાર પાસે પડેલું વાદ્ય તૂટેલું હતું.

    રામસિંહે એમને અખંડ રૂપ આપવાનું નક્કી કર્યું. એના માટે તક પણ મળી ગઈ. એક દિવસ જ્યારે સીસીટીવી કેમેરા બગડી ગયો એ રાત્રે એક પછી એક પ્રતિમાના ઘા પર જાણે મલમ લગાડવાનું શરૂ કર્યું. બાળક્ પાસે નવું રમકડું મૂકી દીધું. તૂટેલી હાંડીની જગ્યાએ નવું વાસણ મૂક્યું. રાજાને રાજદંડ, સૈનિકોને શસ્ત્રો, ખેડૂતને હળ આપ્યું. સ્ટોન સીલર અને પ્લાસ્ટર ઓફ પેરિસથી આંખ, કાન, નાકથી માંડીને ધડ પર માથું સુદ્ધાં મૂકી દીધું.

    રામસિંહની વાત સાંભળીને કશ્યપજીનું દિમાગ ચક્કર ખાઈ ગયું.

    “તમે જાણો છો, રોજે આ પ્રતિમાઓની સંખ્યા ગણતરી કરવામાં આવે છે એટલું જ નહીં એની તસવીરો પણ લેવામાં આવે છે? પ્રતિમાઓમાં સહેજ પણ તફાવત દેખાય તો એની નોંધ લેવાય છે અને તમે એને નવા ઘાટ આપવા માંડ્યાં?

    “કશું ખોટું હોય એ સુધારવું. જેની પાસે જે નથી એ આપવું એને ગુનો કહેવાય? પગ અને આંખ નથી તો એની પીડા શું છે એ હું જાણું છું, સાહેબ.” રામસિંહે ધીમા અવાજે જવાબ આપ્યો..

    “અહીં તો ખંડિત જ પ્રતિમાઓની કિંમત છે. આ તૂટેલા હાથ-પગ, ફૂટેલી આંખની કિંમત છે.” કશ્યપજીના દિમાગનો પારો ઊંચો ચઢવા માંડ્યો.

    “મારે પણ એક પગ અને એક આંખ નથી, તો મારીયે કોઈ કિંમત હોવી જોઈએ ને? પણ, જાણું છું નથી સાહેબ. મારી કો..ઈ કિંમત નથી.”

    કશ્યપજી ઘા ખાઈ ગયા.

    “તમે પ્રતિમા છો?”

    “ના, સાહેબ, પણ હવે ખબર પડી કે જીવતા માણસ કરતાં ખંડિત પ્રતિમાઓ વધુ કિંમતી છે. અમારે રહેવા ઘર નથી અને આ પ્રતિમાઓ માટે મોટા, એરકંડિશન ઓરડાઓ….” એમનો અવાજ ભરાઈ આવ્યો.

    *******

    કશ્યપજીને આજે સમજાતું હતું કે, જીવનભર પત્થરોની પ્રતિમા પર સંશોધન કરીને એ ખુદ પત્થરની જેમ સંવેદનશૂન્ય બની ગયા હતા. સંશોધન કર્યું, પણ સંવેદના પારખવામાં ઊણા ઉતર્યા જ્યારે રામસિંહે સાચા અર્થમાં પત્થરોની પ્રતિમાની જાળવણી કરી હતી.

    કેવી છે આ નિષ્ઠુર દુનિયા જ્યાં પત્થરોની પ્રતિમાને લઈને આટલો હોબાળો મચ્યો અને ગરીબ માનવીની હત્યાનો ઉલ્લેખ માંડ થાય છે. ખંડિત પત્થરની પ્રતિમાને સરકાર સાચવવા અઢળક નાણાં ખર્ચે છે, પણ ગરીબ માણસના ક્ષતવિક્ષિત દેહની નોંધ સુદ્ધાં નથી લેવાતી.

    કશ્યપજી વગદાર અધિકારી હતા. એમના હોદ્દાનો ઉપયોગ કરીને રામસિંહને મોટી સજામાંથી બચાવી લીધા. નિવૃત્તિના બે મહિના પહેલાં જ રામસિંહને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા.

    નિર્ણય લેવાયા બાદ કશ્યપજી ઑફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે રામસિંહ સામે ઊભા હતા. ખીસ્સામાંથી બે મહિનાના પગાર જેટલા રૂપિયા કાઢીને કશ્યપજીએ રામસિંહને આપ્યા.

    “તમારા માટે હોટલમાં ચોકીદારની નોકરીનું કહી દીધું છે. કાલથી કામે ચઢી જજો.” કહીને કશ્યપજી રામસિંહને ભેટી પડ્યા એ ક્ષણે એમને લાગ્યું કે, આજે એમણે એક જીવંત ખંડિત પ્રતિમાના ઘા પર મલમ લગાડીને એને શાતા આપી છે.


    ગરિમા સંજય દુબે લિખિત વાર્તા


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • અભિશાપ

    વસુધા ઈનામદાર

    આજે પ્રિયા પાછી અમેરિકા જઈ રહી હતી. પ્રિયાની અનિચ્છા છતાં પરમ એને મૂકવા એરપોર્ટ પર આવ્યો હતો. કેટલાય સમય સુધી બંને ચૂપચાપ બેસી રહ્યાં હતાં. પરમને પ્રિયા રહસ્યમય લાગી રહી હતી, પ્રિયાને પરમની દયા આવતી હતી.લાંબા સમયના મૌન બાદ પરમ અચાનક બોલી ઊઠ્યો, “એવું તે શું થઈ ગયું પ્રિયા કે તું આમ…?”

    પ્રિયાએ કહ્યું “ પરમ,એના કારણમાં ના પડીશ. કદાચ કારણ હોય તો તે હું જ છું, હું સ્ત્રી છું… માત્ર સ્ત્રી!”

    “પણ પ્રિયા…” પરમે પ્રિયા તરફ હાથ લંબાવ્યો.

    “પ્લીઝ, ડોન્ટ ટચ મી!”

    એકાદી ઊંડી ખીણમાંથી આવતા અવાજ જેવું પ્રિયા બોલી .એ બંનેની વચ્ચે આક્રોશ અને અવિશ્વાસની હવા ફેલાઈ. પ્રિયા તરફ લંબાવેલો પોતાનો હાથ પરમે પાછો ખેંચી લીધો.

    “પ્રિયા, પ્લીઝ ટેલ મી, વ્હોટ હેપન્ડ?”

    “પરમ , તું કે હું કોઈ નહીં સમજી શકીએ વ્હોટ હેપન્ડ ?વ્હાય ઇટ હેપન્ડ ?”પ્રિયાની આંખે આંસુનું તોરણ બંધાયું!

    “તો તું અમેરિકાથી આપણાં લગ્નની ના પાડવા આવી?”

    “હા, પરમ… !”

    “પ્રિયા, અમેરિકા જઈને તું આવી બદલાઈ જઈશ એવું  નહોતું ધાર્યું! પ્રિયા, તેં તારા તન મન ફરતે એક કવચ વીટાળ્યું છે, ને કદાચ તેથી જ તને તારો પ્રેમ પણ સ્પર્શી નથી શકતો!”

    “એવું નથી પરમ! હું તો સાવ કવચ વગરની થઈ ગઈ છું. હા, પણ બદલાઈ ગઈ છું જરૂર!”

    “પ્રિયા, સમજી શકાય એવું બોલીશ?”

    પ્રિયા, અનિમેષ નેત્રે પરમને જોઈ રહી. પરમ બોલ્યે જતો હતો.

    “પ્રિયા, તેં એકવાર કહ્યું હતું, મારો પ્રેમ જમીન અને આસમાન વચ્ચેના આકાશ જેવો છે. ત્યાં આપણે પ્રેમનું અનોખું બ્રહ્માંડ રચીશું. જ્યાં આપણો પ્રેમ ઓમકારમય બનીને ગુંજતો રહેશે. આમ પ્રેમના હીંચકે હીંચનારી તું, આપણાં ભાવિ જીવનનાં સપનાને કંડારનારી તું… તારો જ પ્રેમ પરથી વિશ્વાસ ઊઠી ગયો?” પરમે પૂછ્યું.

    “પરમ , પ્રેમ શું છે એ તું મને સમજાવીશ? પ્રેમ વર્ષાની ફોરાની જેમ નથી વરસી શકતો, એ તો ઝાકળબિંદુની જેમ સહજ સરી પડે છે. ઝાકળની મહેંક વર્ષાના બિંદુમાં પણ નથી .ઝાકળ બનવા તપવું પડે છે, પરમ!”

    “પ્રિયા, આપણે ઓછાં તપ્યાં છીએ? “

    “એનો અહેસાસ મને છે એટલે જ સ્તો હું…”

    પ્રિયા વાક્ય પૂરું કરે તે પહેલાં જ પરમ બોલ્યો, “અમેરિકાથી લગ્નની ના પાડવા આવી છે, ખરું ને પ્રિયા?”

    “પરમ, સાંભળ પ્રેમ ,શ્રદ્ધા, સમર્પણ, ત્યાગ, પવિત્રતા  ને ખાસ કરી ને ચારિત્ર  વગર માનવ જીવનનું કશું મૂલ્ય  નથી ,પણ ક્યારેક એ બધું જ આભાસી લાગે છે. આ બધા શબ્દોને ઘસી ઘસીને ઊજળા કર્યા છે એટલું જ!”

    પરમ ચૂપ થઈ ગયો. પ્રિયાની નિકટ સરીને તે બોલ્યો,

    “પ્રિયા, તને કોઈ અન્ય સાથે?”

    પ્રિયા  મ્લાન  હસી, “નહીં… પરમ…”

    “પ્રિયા, તું લગ્નની ના પાડે છે, પણ તારા હાથની આંગળીમાં આપણાં સગાઈની વીંટી કેમ છે? અને આમ જ કરવું હતું તો આપણી સગાઈ શું એક  રમત હતી? “પરમે પૂછ્યું.

    “પરમ…” પ્રિયા ચીસ પાડી ઊઠી. એનું સમગ્ર અસ્તિત્વ કંપી ઊઠ્યું. થોડીક ક્ષણો પછી તે સ્વસ્થ થતાં બોલી.

    “પરમ, સગાઈ જો તને  રમત લાગતી હોય તો લગ્ન મને નાટક જેવું લાગશે. અને એટલે જ…”

    “તું અહીં આવીને અમારાં સહુના દિલ તોડી શકે છે!”

    “પરમ, તારા આક્ષેપોનો મારી પાસે જવાબ નથી .”

    “આ આક્ષેપ  નથી ,હકીકત છે!” પરમે કહ્યું.

    “તને જે લાગે તે, હું તારી સાથે લગ્ન નહીં  કરી શકું, પરમ !”

    “આ વાત તો તું આવી છે ત્યારથી કહી રહી છે, પ્રિયા!”

    પ્રિયા , ચૂપ હતી. પરમ પ્રિયાના પ્લેનના ઊડવાના સમય સુધી પૂછતો રહ્યો, ક્યારેક પ્રિયા ડગમગી જતી. સમગ્ર તનમનની વ્યથા પરમ આગળ ઠાલવી દેવાની ઇચ્છા એને થઈ જતી, પણ તે પ્રયત્ન પૂર્વક  મૌન રહી.

    “પ્રિયા, તું મને કેમ  ના પાડે છે, તે જાણવાનો મને અધિકાર  નથી ? ”

    પ્રિયા  બોલી, “અધિકાર છે, પણ સાંભળી શકીશ? સાંભળીને સમજી શકીશ? સમજીને મને…”

    પ્રિયા , પોતાના  અધૂરા વાક્ય સાથે ઊભી થઈ. સૂટકેસ અને પર્સ લઈને ચાલવા લાગી. થોડેક દૂર જઈને, પાછાં વળીને એણે પરમ સામે જોઈને આવજે કર્યું

    “પ્રિયા, ઇમેલ કરતી રહેજે.” પરમે ઊંચા સાદે કહ્યું

    આસપાસનાં લોકોએ પહેલાં પરમ અને પછી પ્રિયા સામે જોયું. પ્રિયાએ એ સહુ પર ન ઉકેલી શકાય એવો  દ્રષ્ટિપાત  કર્યો.

    પ્રિયા  કશું બોલી  નહી ,પરમ પ્રિયાની પાછળ ચાલતા ટોળાંને ભેદીને દોડ્યો. સિક્યોરિટીવાળાએ પરમને રોક્યો. પ્રિયાએ ક્ષણેક થોભીને પરમની સામે જોયું. એ જ ચહેરો કઠોર અને મૃદુ!

    પ્રિયાને  યાદ આવ્યું ,એકવાર વાતચીતમાં પરમે કહ્યું હતું, “પ્રિયા , કોમળ અને કઠોર એકી સાથે બનવાનું, પહેલાં કોમળ અને પછી કઠોર એમ નહીં. એના ચહેરા પર થોડુંક સ્મિત આવ્યું ને આંસુ સરી પડ્યાં. પ્રિયા વિચારવા લાગી હસવું અને રડવું જ્યારે એકમેકમાં ભળી જાય ત્યારે કેવું બધું ધૂંધળું ભાસે છે, પણ કઠોર અને કોમળના મિશ્રણથી ઉદાત્ત માનવી બની શકાય. કદાચ પરમ જેવા. એણે ફરી પાછાં વળીને જોયું. પરમની પોતા પ્રત્યેની પ્રેમથી છલ્લોછલ દૃષ્ટિ… એમાં ડોકાતો એક પ્રશ્ન, “કેમ… પ્રિયા શા માટે?”

    પ્રિયા  મક્કમ પગલે પાછી ફરી, પરમે દોડતાં આવીને પ્રિયાને અંકમાં લીધી. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

    “પરમ, વહાલા પરમ” સત્યની ઊંડી ગુફામાંથી એક વ્યાકુળ અવાજ આવ્યો જે પરમના હૃદય પર પડઘાતો રહ્યો.

    “પરમ, મારી ચેતનાને, મારાં શ્વસતાં  કુવારાં નારીત્વને કોઈ અનાવૃત્ત કરી ગયું!”

    પરમના શરીરમાંથી એક વીજળી પસાર થઈ, એના પ્રેમ ઝરણાંને જાણે સૂકવતી ગઈ. આગની જ્વાળાની જેમ તે સમસમી ગયો.

    “ પ્રિયાડડ” પરમની ચીસ એના પોતાના જ ગળામાં ઘૂંટાતી ગઈ. પોતે બેભાન થઈ એરપોર્ટ પર પછડાઈ જશે એવા ભયથી તે પથ્થરની જેમ ઊભેલી પ્રિયાને વળગી પડ્યો. પ્રિયા નિશ્ચલ ઊભી રહી, સાવ ચેતન વિહોણી!”

    થોડીક ક્ષણોમાં બંને સ્વસ્થ થયા. પરમે પ્રિયાનો હાથ પકડી લીધો. તે બોલ્યો, “ચાલ, પ્રિયા ચાલ, મારી સાથે ચાલ!” એરપોર્ટથી તે પરમના  ઘર સુધીનો રસ્તો બંનેના શ્વાસોની આવનજાવનથી ટૂંકાતો ગયો. પરમના ઘરમાં પ્રવેશતાં જ પ્રિયા બોલી, “પરમ, તને ના પાડવાનું આજ કારણ છે. મારા હૃદયનો પ્રેમ મારી દેહની મર્યાદાથી ગૂંગળાઈ ગયો છે. હું તારી રહીનેય તારી નથી થઈ શકતી.”

    પરમની નજીક આવી એનો હાથ પકડી તે બોલી, “આ બનાવ  બન્યો ત્યારે હું ઇચ્છતી હતી કે કોઈ જટાયુ બનીને આવે, કોઈ રામ બનીને આવે, કોઈ કૃષ્ણ બનીને આવે! કોઈ ન આવ્યું પરમ! તું પણ ના આવ્યો! હવે જ્યારે હું પાપ અને પુણ્યતા અક્ષાંસ-રેખાંશ પર અટવાઈ રહી છું, ત્યારે હું મારી જાતને પૂછું છું. મારું સ્થાન ક્યાં?”

    પરમે પ્રિયાનો હાથ પોતાના હૃદય પર મૂક્યો… “તારું સ્થાન અહીં છે, પ્રિયા! પ્રિયા મને માત્ર પડછાયાની જેમ  જ નહીં પણ તારા શ્વાસની જેમ નિકટ આવવા દે! તારી નજીક રહીને તારી પીડાને હું ધીરે ધીરે પી જઈશ!”

    “હા, નીલકંઠે વિષ પીધું ને તું મારી પીડા! પરમ તને તો માત્ર પ્રેમ જ અપાય. આ પીડા હું પોતે પીતી રહીશ.”

    “પરમ, ક્યારેક આપણે એકલાં કે એકલાં અધૂરાં રહીને જીવવું પડે છે. આપણી પાસે ન જીવવાની  સ્વતંત્રતા  નથી ! પ્રિયાના દરેક શબ્દમાંથી વેદના ટપકતી હતી.

    “પ્રિયા, બીજું બધું હોય કે ન હોય, આપણી પાસે પ્રેમ કરવાની સ્વતંત્રતા છે.” પરમે પ્રિયાની નિકટ આવીને કહ્યું. ચહેરા પરના વિષાદના ભાવ સાથે પ્રિયા બોલી, “મારા એકાંતની મંજૂષા લૂંટાઈ ગઈ છે. એમાં સજાવીને મૂકેલા મેઘધનુષના રંગ વિખેરાઈ ગયા છે. પરમ, મારા એકાંતમાં નર્યો ઘોંઘાટ છે, મારું પોતાનું કહી શકાય એવું એકાંત પણ મારી પાસે નથી “

    પરમે કહ્યું, “પ્રિયા આપણાં તનમનનાં એકત્વથી હું તારી લૂંટાઈ ગયેલી મંજૂષા છલકાવી દઈશ. આપણે બંને સાથે મળીને વિશ્વાસ અને શ્રદ્ધાના રંગે તેને શણગારીશું.”

    “ના પરમ , એ શક્ય જ નથી. મારા ખંડિત ભિક્ષાપાત્રમાં તારું સ્નેહ ઝાકળ નિર્માલ્યની  જેમ વ્યર્થ જશે. તું મારા પરમ સમીપે અને તને જ……! “પ્રિયાની આંખો ભરાઈ આવી.

    “પ્રિયા, તારી આ સદીઓ પુરાણી માન્યતાઓનું  મારે મન કોઈ મહત્વ નથી .કોઈ અબુધ પુરુષે તને ઘાયલ કરી છે. એ મનોવિકૃત કે મનોરોગી  હશે. તારી બદનસીબીની એ ક્ષણો હશે. પ્રિયા, તારે તારું મનોયુદ્ધ એકલાં એકલાં જ લડવું છે. તારા મનોસંગ્રામનો મને સારથી નહીં બનાવે?”

    “મનોસંગ્રામ? તું સાચું જ કહે છે પરમ! હું મારાં મનોયુદ્ધમાં અટવાઈ ગઈ છું. મનની સાથે એક અણગમતો  નવો સંબંધ બંધાયો છે. એ મુક્ત છે હું માત્ર બંદિશ્ત!!”

    “મારા મનની કોર્ટમાં હું ન્યાયાધીશ બનું છું. મારી જાતને દેહદંડની સજાથી માંડીને દરેક હળવી મોટી સજાઓ ફટકારું છું. એ બધી સજાઓ મારા માટે સહ્ય છે, પણ મનને સતત ડ્રીલની જેમ કોતરતી સ્થિતિ અસહ્ય છે.  મને લાગે છે કે મરતી વખતે પણ આવી રીતે જીવવા જેટલી પીડા વેઠવી નહીં પડતી હોય! હું વેદનાના હીંચકે બેસીને ક્રોધને હીંચકાવું છું ને ક્યારેક પીછેહઠ કરીને વિચારું છું  કે હું વેરની આગ વરસાવું તો કોના પર? પરમ, જવાબ વિનાના સવાલોનું અતુલ યુદ્ધ હું લડી રહી છું. મારી જિંદગી જાણે અનેક પ્રશ્નોનું જંગલ!! એક પછી એક ઊગતા પ્રશ્નથી હું છેદાઈ રહી છું. આ સમયે તું પણ મારી મમ્મીની જેમ લગ્નની વાત કરે છે?” પ્રિયા બોલતાં બોલતાં જાણે હાંફી ગઈ.

    પરમે પૂછ્યું, “તેં તારી મમ્મીને વાત કરી? એમણે શું કહ્યું ?”

    પ્રિયા  બોલી, “ મારી મા, મારા દુઃખને સમજે છે. મારા આશ્ચર્ય વચ્ચે એ આવા દુઃખને સહી શકે છે! તે સ્ત્રીના  નાતે બધું સમજે છે, પણ એની સમજણ સહારો બનીતે છવાઈ નથી જતી. તે મૂંગી મૂંગી બરડા પર હાથ ફેરવશે. એનો સ્પર્શ ઘણું બધું કહેવા મથે છે, પણ હું જ જાણે ચેતન વિહોણી બની જાઉં છું ! અત્યાચાર તો સ્ત્રીઓ પર જ થાય એવી માન્યતા સાથે તે મોટી થઈ છે. એ કહેતી હતી, “હું કાંઈ દુનિયાની પહેલી સ્ત્રી નથી જેના પર આવો અત્યાચાર થયો છે. તે કહે છે લગ્ન કરી લે બધું ઠીક થઈ જશે.”

    “લગ્ન પહેલાં અને લગ્ન પછી આવી વાતો કોઈનેય કહેવાય નહીં. એવા બીકણ ખ્યાલોથી મા ઘડાઈ છે, પણ પરમ પોતાના મન આગળ ડોઈ ઢાંકપીછેડો થઈ શકતો નથી. તારી સાથે લગ્ન કરીશ તો હું એકલી નહીં હોવું, અનેક અણગમતી સ્મૃતિઓ દહેજમાં લાવીશ!! તેનું શું કરીશું? આ જખમની યાદો વર્તમાનની ક્ષણોમાં ઓગાળવી મારાથી શક્ય બનશે ? ”

    “પ્રિયા સમયના ટનલમાં ફોરવર્ડ હોય છે. તું રિવર્સ જવાતું બંધ કરીશ ? જીવન સતત આગે બઢોને લલકારે છે.” પરમે કહ્યું.

    “પરમ , હું બધું જ સમજુ છું. તું મારા મનને એ અત્યાચારી ક્ષણોમાંથી મુક્ત કરી શકીશ? એ સમગ્ર ઘટનાએ  મારા નારીત્વને છીનવી લઈને મને અપમાનિત કરી છે. આજ સુધીના ઇતિહાસમાં કઈ સ્ત્રીને પોતાની આ પ્રકારની વ્યથાને વ્યક્ત કરવાની છૂટ મળી છે? પરમ, તારી આગળ આજે તારી પ્રિયાનું મન અત્યંત વિશ્વાસપૂર્વક અનાવૃત્ત થયું છે.”

    “પ્રિયા,”

    પરમ અત્યંત સ્નેહથી  બોલ્યો, “તું તારા મનને મોકળું કરીતે ધોધમાર રડી લે. આંસુનું મહાપૂર આવવા દે. એમાંથી તરીને બહાર નીકળ. એ પળનું સ્મરણ પણ એ પ્રવાહમાં જવા દે… એ ક્ષણો અને વેદનામાંથી મુક્ત થવાનો મરણિયો પ્રયાસ એ જ તારો સંકલ્પ!”

    “પરમ, તું કોઈ માનસશાસ્ત્રી જેવું બોલે છે!”

    “ના ,પ્રિયા, હું એક સહૃદયી પ્રેમી જેવું બોલું છું. આપણી સંસ્કૃતિ મનની ભાવનાઓથી ભરેલી છે. એ આંતરનાદના તારા તાર તૂટી ગયા છે. આમ હારીને બેસીશ તો સ્વસ્થતા ખોઈ બેસીશ. મન અને મક્કમતા વચ્ચે એકત્વ સંધાય ત્યારે જ જીવન સહજતાના માર્ગે આગળ વધે છે. આ પળથી માત્ર મારી થઈને રહે. તારા વર્તમાનની ક્ષણો સુવર્ણ રજથી ભરવા હું પ્રયત્ન કરીશ!”

    “ખરેખર પરમ! તો તું એક કામ તારી પ્રિયા માટે કરીશ?”

    “પ્રિયા, તારે પૂછવાનું ના હોય! બોલ, પ્રિયા, હું તારા માટે શું કરું?”

    પ્રિયાનો  કંઠ રૂંધાયો, પણ શબ્દો ભારપૂર્વક ધસી આવ્યા, “

    “પરમ, મને શાપ આપ… હા પરમ, તું મને શાપ આપીશ?”

    “મારે ,અહલ્યા થવું છે… હા… હા… મારે અહલ્યા થવું છે !!”


    વસુધા ઈનામદાર | બોસ્ટન ,અમેરિકા

  • મહેન્દ્ર શાહનાં માર્ચ ૨૦૨૬ નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s art creations for March 2026

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • સદાબહાર સૂર- શ્રી અવિનાશ વ્યાસ – પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે

    આલેખનઃ રાજુલ કૌશિક

    સમય હશે ૨૦૧૩નો…ત્યારે અખબારમાં એક સમાચાર હતા.

    જાણીતા ગીતકાર સંગીતકાર અવિનાશ વ્યાસની ૧૦૧મી જન્મજયંતી અને ૨૯મી પુણ્યતિથી નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટક અકાદમી અને શહેરની સંસ્થા ગાથા દ્વારા સી.સી. મહેતા ઓડિટોરિયમ ખાતે અવિનાશી અવિનાશ કાર્યક્રમ યોજાયો હતો. રવિવારે રાત્રે યોજાયેલા આ કાર્યક્રમમાં અવિનાશ વ્યાસના ગીતોની રજૂઆત દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

    આ પ્રસંગે પુરૂષોત્તમ ઉપાધ્યાયે કહ્યું હતું કે, “અવિનાશ વ્યાસે લખેલા ગીતો ફકત ગીતો જ નહીં, પરંતુ તેમના જીવનની કહાની બયાઁ કરે છે જેમાં તેમની અનેક રાતોના ઉજાગરા અને વર્ષોની મહેનત હતી. એમના શબ્દોના પ્રાસ અને લેખિની એટલી મજબૂત કે જે વિષય પરનું ગીત હોય તેનો અનુભવ કરાવે જ !”

    આજે આ વાત યાદ આવવાનું કારણ ૨૦ ઑગસ્ટ.

    ૨૦ ઑગસ્ટ ૧૯૮૪ નો એ દિવસ અવિનાશ વ્યાસની વિદાયને લઈને સુગમ સંગીત માટે, સુગમ સંગીતના ચાહકો માટે હંમેશ માટે ખાલીપો સર્જતો ગયો.

    અવિનાશ વ્યાસ એક એવા ગીતકાર હતા જે હૃદયની લાગણીઓને સહજતાથી શબ્દદેહ આપી શકતા. મા અંબાજીની પરમકૃપા એમની પર હતી. આ પરમકૃપાનો સાક્ષાત્કાર આપણે એમની રચનાઓમાં અનુભવ્યો છે. એક વાત તો સૌએ સ્વીકારવી રહી કે ગીત-સંગીત કે કવિતાના કોઈ ક્લાસ કે ટ્યુશન નથી હોતા એ તો ઉપરવાળાની કૃપાથી ઉતરી આવે અને એ કૃપાથી અવિનાશ વ્યાસ સમૃદ્ધ હતા.

    ક્યારેક વિચાર આવે કે કોઈ પણ જીવ જે ક્ષણે જન્મ લે છે ત્યારથી જ એની અંત તરફની યાત્રા પણ શરૂ થઈ જ જતી હોય છે ફક્ત એનો વિચાર ભાગ્યેજ કોઈ કરે પરંતુ કદાચ કોઈને આવનારા મૃત્યુનો અણસાર આવી જાય તો એ શું વિચારે?

    કવિઓ, લેખકો, ગીતકારો જીવન વિશે તો લખે સાથે મૃત્યુ વિશે પણ ઘણું લખે છે.

    કહે છે કે મૃત્યુ જેની સમજમાં આવી જાય એના માટે જીવન મહોત્સવ બની જાય. જેનામાં નખશિખ માનવતા ભરી હોય એ મૃત્યુને મહોત્સવ બનાવી શકે. અવિનાશ વ્યાસની માનવતા વિશે અનેક વાતો છે જેની વાત ક્યારેક ભવિષ્યમાં કરીશું પણ આજે એ માનવતાની મૂર્તિ સમા ગીતકારે જીવનને કેવા તટસ્થભાવે જોયું અને મૃત્યુ વિશે શું વિચાર્યું એ જાણવાની જીજ્ઞાસા થઈ તો એના જવાબમાં આ ગીત યાદ આવ્યું.

    “હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ના જાણું
    ધરમ કરમના જોડ્યા બળદિયા ધીરજની લગામ તાણું.”

    એક ધર્મ અને બીજું કર્મ એવા બે બળદને સહારે ચાલતું આ જીવનનું ગાડું ધીરજની લગામ થકી સુપેરે હાંકવા મથીએ, પણ અંતે તો હરિ જે કરે એ જ સાચું એવી અપાર શ્રદ્ધા જેનામાં હોય એ સમજે છે કે આ જીવનમાં સુખ-દુઃખ તો દિવસ અને રાતની જેમ આવ્યા જ કરવાના પણ હરિ જેમ કહે એમ કરવું બાકીનું પરહરવું. શબ્દો થોડા જુદા પણ નરસિંહ મહેતા પણ એ જ કહી ગયા છે ને કે, “સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં.”

    અવિનાશ વ્યાસની વાતમાં કેટલી સાદગી છે ! એ જીવનરથ નથી કહેતાં એ જીવનને ગાડું કહે છે. ન કોઈ ઠાઠમાઠ કે ઠઠેરો બસ સરળતાથી ચાલ્યા કરતું જીવન જે હરિને મંજૂર હોય એમ જીવવાનું.

    “સુખ ને દુઃખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય,
    કદી ઉગે આશાનો સૂરજ કદી અંધારુ થાય,
    મારી મુજને ખબર નથી કઈ, ક્યાં મારું ઠેકાણું, કાંઈ ના જાણું.”

    એથી આગળ અવિનાશ વ્યાસ જે વાત કરે છે એમાં જીવનનું ગહન સત્ય સાવ સરળતાથી વ્યક્ત થતું સમજાય છે. સૌ જાણે છે એમ ક્યારે અને ક્યાંથી આવ્યા અને ક્યારે ક્યાં જવાના એની કોઈનેય ક્યાં ખબર છે? આ શરીર આપણા આત્માને ધરી રાખતું, સાચવતું એક પીંજર છે એ ક્યારે ઘસાતું જશે કે જૂનું થશે એની આપણને જાણ નથી ત્યારે હરિ જ્યાં જેમ દોરે એમ દોરાવું

    “ક્યાંથી આવું ક્યા જવાનું ક્યાં મારે રહેવાનું,
    અગમ-નિગમનો ખેલ અગોચર, મનમાં મુંઝાવાનું,
    હરતું ફરતું શરીર તો છે પિંજર એક પુરાણું, કાંઈ ના જાણું.”

    શરીરને પીંજરું કહેતા અવિનાશ વ્યાસની એક આ રચના મને સૌથી વધુ સ્પર્શી છે. હૃદયને અડીને આજ સુધી રહી છે અને હંમેશા રહેશે.

    “પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
    બહુ એ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે
    ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
    અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
    અણદીઠે દેશ જાવા, લગન એને લાગે
    બહુ એ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે…”

    કેમ લખ્યું હશે આ ગીત?

    બહુ બધી વાર વિચાર આવતો કે, એવું તો એમણે શું જોયું હશે, અનુભવ્યું હશે કે અંદરથી આવો અજંપો ઉમટ્યો હશે? મનમાં કેવા ભાવ ઉમટ્યા હશે ત્યારે આ રચના કરી હશે? એ કોઈને સમજાવવા મથતા હશે કે પછી પોતાની જાત સાથેની વાત હશે?

    હા, જો ઢળતી ઉંમર હોય, તન થાક્યું હોય, મનમાં જીવવાની જિજીવિષા ન રહી હોય ત્યારે માણસને પોતાનો દેહ જર્જરિત પીંજરા જેવો લાગવા માંડે ત્યારે એને નવા ક્લેવર ધારણ કરવાના, નવા પીંજરામાં પૂરાવાના કોડ જાગતા હોય એ સમજી શકાય છે પણ ચારેકોર સુખની શૈયા હોય, સુંવાળું જીવન હોય એને ત્યજીને કોને આ અજાણી ભોમકાની વાટે જવાનું મન થતું હશે?

    “સોને મઢેલ બાજઠિયો ને રૂપે મઢેલ ઝૂલો
    હીરે મઢેલ વીંઝણો મોતીનો મોઘો અણમોલો
    પાગલ ન બનીએ ભેરુ કોઈના રંગ રાગે
    બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે.”

    કશું ન હોવાની વ્યથા હોય તો સમજાય પણ બધુ અભરેભર્યું હોય તેમ છતાં જીવન પરથી મન ઊઠી જાય ત્યારે કેવો અજંપો મનને સતાવતો હશે ?

    અન્યની તો ખબર નથી, પણ આજે થોડી હું અંગત થઈ રહી છું. સંથારો શબ્દ છે જેમાં વ્યક્તિ પોતાની આસપાસથી, આપ્તજનોથી માયા સંકેલવા માંડે ત્યારે એની જોડે રહેનારને આ પ્રશ્ન જરૂર થાય કે આટ-આટલી સુખ સાહ્યબી હોવા છતાં આ ઘર છોડીને અણદીઠે દેશ જાવાની તત્પરતા એનામાં કેમ આવી હશે?

    આ રચના સાંભળું ત્યારે હંમેશા યાદ આવે છે મહાપ્રયાણની તૈયારી કરતી મારી મા…એને જોઈ છે. ત્યારે થતું કે આમ ભરપૂર જીવન જીવતી વ્યક્તિને અચાનક બધું છોડવા વિચાર કેમ આવતો હશે?

    અથવા જેણે ભરપૂર જીવન જીવી લીધું છે એના મનમાં કોઈ ઈચ્છાઓ બાકી નહી રહેતી હોય એટલે આવી સાહજિકતાથી માયા સમેટી શકતી હશે?

    મારી મા અને એની અલિપ્તતાને જોતી ત્યારે અવિનાશ વ્યાસની આ રચના યાદ તીવ્રતાથી યાદ આવતી અને આજે આ રચના સાંભળું છું ત્યારે એના શબ્દોમાં મને એમાં મારી મા અનુભવાય છે.

    મહાપ્રયાણ કરવાની તૈયારી સાથે સમય પસાર કરતી વ્યક્તિની મનોવસ્થા જ્યારે આ રચનાના અંતિમ ચરણને સમજીએ ત્યારે સમજાય છે.

    “જન્મ ધરીને પીંજરે જીવ્યા હારોહાર
    પણ જ્યાં સૂરજ માંડ્યો ડૂબવા ત્યાં તૂટ્યો તંબૂરાનો તાર
    અધૂરું ભજન સંગાથી ઉમળકો ભાગે
    પંખી વાણી ઓચરે આખર જવું એક દાહડે
    આ નથી નિજનું ખોળીયું આ તો મકાન રાખ્યું ભાડે
    પોઢવાને કાજે પાગલ સારી રાત જાગે
    બહુએ સમજાયું તોયે પંખી નવુ પીંજરું માંગે.”

    જેની હારોહાર જીવ્યા હોય એવી વ્યક્તિ વગર ભરી ભરી આ દુનિયામાં ખાલીપો સર્જાય, સઘળું વ્યર્થ થઈ જાય ને ત્યારે ભલેને પીંજરું સોનાનું હોય પણ એના પરથી મોહ છૂટી જાય.

    આ લખી રહી છું ત્યારે ફરી શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે કહેલા આ શબ્દો આજે યાદ આવે છે અને એનું સત્ય સમજાય છે કે અવિનાશ વ્યાસની રચનાઓ જે વિષયને અનુલક્ષીને લખાઈ હોય એનો સીધો જ અનુભવ આપણને પણ થાય છે.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સુબ્રોતો બાગચી કહે છે પ્રક્રિયાઓનાં મહત્વની વાત

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    સુબ્રતો બાગચીના પુસ્તક “ધ હાઇ પર્ફોર્મન્સ આંત્રપ્રેન્યર ” એ મારા જેવા અનેક ઉદ્યોગસાહસિકોની વિચારસરણીને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એ એક એવું પુસ્તક છે જેણે મને વ્યવસાય કરવાના વ્યવસાયને સમજવામાં મદદ કરી. આ પુસ્તક માઇન્ડટ્રીના વિચારબીજથી IPO સુધીના વિકાસનું દસ્તાવેજીકરણ કરે છે. તે સાથે આ પુસ્તક સંસ્થાઓને ‘અસામાન્ય’ બનાવવાના કેટલાક સૌથી મહત્વપૂર્ણ પાસાંઓ પર ખૂબ જ રસપ્રદ આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.

    “પ્રક્રિયા-કેન્દ્રિત સંગઠનનું નિર્માણ” ના એક પ્રકરણમાં, સુબ્રતો બાગચી એક અદ્‍ભૂત વાત શેર કરે છે જે ફક્ત પ્રક્રિયાના મહત્વને રેખાંકિત કરે છે.

    ફ્યુજી ઝેરોક્સ જાપાનની ફ્યુજી અને અમેરિકાની ઝેરોક્સ નું સંયુક્ત સાહસ હતું. મૂળ કંપની, ઝેરોક્સ,ને યુએસમાં ગુણવત્તા માટે માલ્કમ બાલ્ડ્રિજ એવોર્ડ મળે તે પહેલાં જ ફ્યુજી ઝેરોક્સે કુલ ગુણવત્તા વ્યવસ્થાપન માટે સુપ્રસિદ્ધ ડેમિંગ પુરસ્કાર જીત્યો હતો.

    એક સજ્જન સમજાવી રહ્યા હતા કે પ્રક્રિયા અભિગમ સ્પર્ધાત્મક સફળતાની ચાવી શા માટે છે.

    કોઈએ તેમને પુછવા ખાતર જ  પૂછ્યું, “પરંતુ માઇકેલેન્જેલો તો કોઈ પ્રક્રિયાને અનુસરતા નથી?”

    હસીને, પેલા નિષ્ણાતે જવાબ આપ્યો, “પહેલાં, માઇકેલેન્જેલો બનો.”

    તે પછી તરત જ તેમણે ભારપૂર્વક ઉમેર્યુંઃ બાકીના બધાએ તો પ્રક્રિયાને અનુસરવી જ જોઈએ.

    તાજેતરમાં, કોઈએ મારી સાથે દલીલ કરી હતી કે પોતે સર્જનાત્મક ક્ષેત્રમાં હોવાથી, તેને પ્રક્રિયાની જરૂર નથી. મારો મત એ છે કે સર્જનાત્મક ક્ષેત્રોમાં પણ, પ્રક્રિયા મહત્વપૂર્ણ છે. કલાકારો, લેખકો અને અન્ય સર્જનાત્મક લોકો હજુ પણ વ્યાવસાયિકો છે જેમને તેમની સફળતાનું પુનરાવર્તન કરવું પડે છે. તેઓ હંમેશા એક પ્રક્રિયાને અનુસરે છે (અને આ એક વ્યક્તિગત પ્રક્રિયા છે જે હંમેશા દરેકને દેખાતી નથી). પ્રક્રિયા એક સાધન છે જે આપણને સર્જનાત્મક વ્યાવસાયિકો તરીકે વધુ અસરકારક બનાવે છે.

    સુબ્રતો બાગચી આગળ દલીલ કરે છે કે:

    બધા સર્જનાત્મક લોકો ખરેખર એક સશક્ત પ્રક્રિયા અભિગમ ધરાવતા હોય છે, ફક્ત તેમની પ્રક્રિયાનું સંસ્કરણ બીનઅનુભવી આંખને સ્પષ્ટપણે દેખાતું નથી, અને અનુભવી નજરનાં માન્યતાઓનાં પડળ તેને ઓજલ કરી નાખે છે.  તેથી, જો તમે કંઈ પણ યાદગાર સર્જન કરવાનું વિચારી રહ્યા હો, તો તમારે પ્રક્રિયાને, અને તેનાં મહત્વને, સમજવાં જોઈશે અને તેનું સન્માન કરવું પડશે.

    ટીમ અને સસ્થાઓના ઘડનારાઓ માટે સો વાતની એક વાત એ છે કે “આપણે જે કંઈ કરીએ છીએ તે એક પ્રક્રિયા છે જે હંમેશા સુધારી શકાય છે.”

    અહીં મારા પુસ્તક “#QUALITYtweet – 140 Bite-Sized Ideas to Deliver Quality in Every Project માંથી કેટલાક સર્દભોચિત તારવેલા લેખો અહીં ફરીથી યાદ કર્યા છે, જે આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર પણ ભાર મૂકે છેઃ

    ગ્રાહકની તાત્કાલિક સમસ્યાઓના નિવારણમાં આપણી પ્રક્રિયાઓને આડખીલીઓ ન થવા દઇએ છે

    કાબેલ લોકો + સારી પ્રક્રિયાઓ = વિખ્યાત ગુણવત્તા

    પ્રક્રિયાઓ સરળ બની રહેવી જોઇએ

    ઉત્કૃષ્ટ ગાહકો શોધી કાઢતાં અને ટકાવી રાખતાં રહીએ, કેમ કે આપણી પ્રક્રિયાઓની ઉત્કૃષ્ટતા(ઓ)નું તેઓ ચાલક બળ છે.

    શું સુધારવું છે તે ખબર હોવી જોઇએ

    ઉત્પાદકતા અને ગુણવત્તા

    શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ સંદર્ભોચિત હોય છે

    પ્રક્રિયા સુધારણાની સફરમાં આવતી ૩ E \ ‘સ’- વાળી આડખીલીઓ


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • તિજોરીનો નિયમઃ વ્યક્તિગત ચઢિયાતાપણાની સ્થાપત્યશૈલી કંડારવી

    ધંધેકા ફંડા

    ગતાંકમાં આપણે  હવે પછી શું ?ની આપણી યાત્રામાં Think for yourself! પર આવીને અટક્યાં હતાં. હવે માર્ગે વિચાર કરવાનું શરૂ કરવાના પહેલા પડાવ વિશે વિચાર કરીએ ….

    ઉત્પલ વૈશ્નવ

    I. સાર્વભૌમ ચોકઠું

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    તમારી પાસે શું છે તે તમે કઈ સ્થિતિમાં છો કે કયાં પદ પર છો તેનાથી નક્કી નથી થતું. તે તો તમે  કયાં પ્રભાવક્ષેત્રમાં છો તેના પરથી નક્કી થાય છે.

    તમારી ખરૂં સાર્વભૌમત્વ તમારી સામેના મંચ પરનાં તમારા “ચોકઠાં” ને સુધારી શકવાની તમારી ક્ષમતા છે. તમને ડર અથવા જીવનરસમાંથી થતા ક્ષયની બહાર નીકળવાની ફરજ પડે એ સમયે તમારાં સાર્વભૌમત્વની સીમા આવે છે.

    જ્યારે આપણે આપણી કંપનીના ચાલક બળને દુબઈ જેવા ઇષ્ટતમ કર ધરાવતાં, ખુબ પ્રવૃતિમય કેન્દ્રમાં સ્થાનાંતરિત કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત “પૈસા બચાવતાં” નથી. આપણે આપણા જીવનરસના સંગમની યુતિને કેન્દ્રિત કરતી અવસ્થામાં, સ્થિતિગત સ્તરે, પદોન્નિત કરી રહ્યાં છીએ. પરંપરાગત અમલદારશાહીના ઘર્ષણને દૂર કરીને, આપણે પોતાને મૌનનો વૈભવ બક્ષીએ છીએ. “ભાડે આપનાર”ને  સ્થાનમાં ફેરફાર દેખાય છે; “આર્કિટેક્ટ”ને પ્રણાલીગત લાભમાં કાયમી વધારો દેખાય છે.

    II. માળખાકીય કવચ તરીકે વ્યૂહાત્મક સમાનુભૂતિ

    સાર્વભૌમ સ્થિતિ માટે સૌથી મોટું જોખમ માનવી માનવી વચ્ચેની વાટાઘાટોમાં સંભવિત ઉચ્ચસ્તરીય ઘર્ષણમાટેની સરહદ વચેનું ક્ષેત્ર છે. મોટાભાગના વ્યાવસાયિકો બીજાં લોકો પાસેથી માન્યતા – “ભાડે આપનારની સંમતિ”-  મેળવવાની લ્હ્યાયમાં પોતાની સ્વાયત્તતા ગુમાવે છે.

    નિષ્ણાત ઘડવૈયો અલગ રીતે કામ કરે છે. આપણે વણપાક્યાં સત્યનો ઉપયોગ રક્ષણાત્મક આશ્રય કવચ તરીકે કરીએ છીએ.

    છુપાઈ રહેલી પ્રેરણાઓને અને “ઓરડામાંના હાથીઓ (જેના વિશે લોકો વાત કરવા માગતા નથી એવી કોઈ દેખીતી સમસ્યા અથવા મુશ્કેલ પરિસ્થિતિ)” ને અલગ, કોઈ જ પ્રકારની અસમંજસતા વિનાની સ્પષ્ટતા દ્વારા સમજવાથી, અને સ્વીકારવાથી, આપણે ઘર્ષણ હાઈ વૉલ્ટેજ કક્ષાએ પહોંચે તે પહેલાં જ તેને દૂર કરીએ છીએ.

    આપણે મંજૂરી માંગતા નથી; શિષ્ટાચાર સંહિતા સ્પષ્ટ કરીએ છીએ. આપણે સંમતિ શોધતાં નથી; સ્પષ્ટતા શોધીએ છીએ. આ “મુશ્કેલ કરવું” નથી – તે સહભાવપૂર્ણ સ્પષ્ટવક્તવ્ય છે. તે એક સ્થિર, સમાધાનકારી માળખું પૂરું પાડવાનું કાર્ય છે જેના વડે વાસ્તવિક મૂલ્યનું ખરેખર ઘડતર થાય છે.

    III. તદ્દન અસ્વીકાર્ય સહનશીલતાનો તર્ક

    મજબૂત તિજોરી એ જગ્યા છે જ્યાં વ્યાજબી સમન્યાય અને બૌદ્ધિક સંપત્તિને સંસ્થાકીય સ્મૃતિમાં નક્કર સ્વરૂપ આપવામાં આવે છે. આર્કિટેક્ટનું અંતિમ લક્ષ્ય સરવાળા બાદબાકીની રેખાઓ ચીતરવાથી દૂર ખસીને ગુણાકાર પામેલી આકૃતિ તરફ આગળ વધવાનું છે.

    જો કોઈ તંત્રને ટકી રહેવા માટે  સતત તમારા  દ્વારા પોષક દ્રવ્યોના હસ્તક્ષેપની જરૂર હોય, તો તે એક કામ છે, મશીન નહીં. તિજોરીનો નિયમ જણાવે છે કે આપણે ફક્ત તે જ બનાવવું જોઈએ જેની પ્રતિકૃતિ બની શકે  – એવો કોડ જે વધારાના ખર્ચ વિના વિસ્તારી શકાય, એવું માધ્યમ જે આપણી સુષુપ્તાવસ્થામાં પણ આપણને કંઈને કંઈ શીખવતું રહે , અને એવી મૂડી જે માનવીય શ્રમને બદલે વ્યૂહાત્મક સમયબદ્ધતા દ્વારા ચક્રવૃદ્ધિ દરે વધે છે.

    ખેલની અંતિમ બાજીમાં,  જે સૌથી વધુ ચાલ ચાલે તે વિજેતા  નથી, પરંતુ તે એવી વ્યક્તિ છે જેણે એવી સ્થિતિ નિર્માણ કરી છે જેમાં વિશ્વની દરેક ચાલ પોતાના ‘ચોકઠા’નું મૂલ્ય વધારે છે.


    હવે પછી શું ?ની આપણી યાત્રાનાબીજા પડાવ Think for yourself! The Sovereign Agenda: Moving from વિશે હવે પછી


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • વૃક્ષને કપાતાં અટકાવવા ધરણાં કરનારા વીરલાઓ સફળ થશે?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    એક વૃક્ષને બચાવવા માટે જીવ આપવો પડે તો પણ એ ઓછું છે.’ આમ કહેનાર અમૃતાદેવી બિશ્નોઈએ ખરેખર વૃક્ષને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. વર્ષ હતું ઈ.સ.૧૭૩૦નું. જોધપુરના રાજા અભયસિંહના સૈનિકો મહેલના બાંધકામ માટેનાં લાકડાં લેવા ખીજડાનાં વૃક્ષો કાપવા માટે આવ્યા હતા. એ વખતે અમૃતા દેવી વૃક્ષને વળગી રહ્યાં અને જાન કુરબાન કરી દીધો. તેમની સાથોસાથ બીજા ૩૬૩ લોકોએ પણ જાન ગુમાવ્યા. ખાસ કરીને પશ્ચિમ રાજસ્થાન માટે આ વૃક્ષ વિશેષ મહત્ત્વનું છે. તેને આ વિસ્તારની જીવાદોરી કહી શકાય.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    કહેવાય છે કે દુષ્કાળના સમયે અહીંના લોકો ખીજડાના વૃક્ષની છાલ ખાઈને ટકી રહ્યા હતા. ખીજડાનાં મૂળ જમીનમાં ત્રણસો ફીટ સુધી ઊતરીને પાણી શોષી શકે છે અને વૃક્ષને બચાવી શકે છે. તેનો એક એક ભાગ ઊપયોગી છે. વરસના દસેક મહિના તો તે પશુઓને અતિશય પૌષ્ટિક એવો આહાર પૂરો પાડે છે. તેનાં ફળ (શિંગ) ખાઈને લોકો પણ પોષણ મેળવે છે. તેના ચારાની બજારકિંમત પ્રતિ ક્વિન્‍ટલ બે હજાર રૂપિયા અને સૂકાયેલી શિંગની પંદરસોથી બે હજાર રૂપિયા પ્રતિ કિલો જેટલી હોય છે. વરસેદહાડે આ ઝાડ પચાસ-સાઠ હજારનો ચારો અને શાક મેળવી આપે છે. મે-જૂન દરમિયાન તેમાંથી ઝરતો ગુંદર પણ ખાઈ શકાય છે. તેનાં ફૂલોનો રસ મધમાખીઓ પીવે છે, એટલું જ નહીં, તેની પર મધપૂડા પણ બનાવે છે. અનેક પ્રકારની કીડીઓ તેમજ જીવાત આ વૃક્ષ પર નભે છે, અને પક્ષીઓ પણ. આ વિસ્તારના લોકોના જીવનમાં ખીજડાનું વૃક્ષ એટલું મહત્ત્વનું સ્થાન ધરાવે છે કે જન્મથી લઈને મરણ સુધીના વિવિધ પ્રસંગોએ તે એક યા બીજા સ્વરૂપે ઊપયોગમાં લેવાતું રહે છે. મહાભારતમાં પણ ખીજડાના વૃક્ષનો મહત્ત્વનો ઉલ્લેખ કરાયો છે.

    સવાલ એ છે કે અચાનક ખીજડાના વૃક્ષનું માહાત્મ્ય કરવાનું શું કારણ? રાજસ્થાનમાં બીકાનેર સૌર ઊર્જાના અતિ મહત્ત્વના કેન્‍દ્ર તરીકે ઊભરી રહ્યું છે. ફેબ્રુઆરી, ૨૦૨૬માં રજૂ કરાયેલા રાજ્ય સરકારના બજેટ અનુસાર, રાજસ્થાનના કેવલ બે જિલ્લા-બીકાનેર અને જેસલમેરમાં જ સૌર પ્રકલ્પો માટે ૨,૯૦૦ કરોડ રૂપિયા ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. બધું મળીને આશરે ૪,૮૩૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા સૌર પાર્ક વિકસાવવામાં આવશે. બસ, અહીં ખીજડાનું વૃક્ષ ચિત્રમાં પ્રવેશે છે.

    આ પ્રકલ્પોની તૈયારી એકદમ આક્રમકતાથી થવા લાગી છે, અને જે તે વિસ્તારમાંથી ખીજડાનાં વૃક્ષોનો સફાયો કરાવા માંડ્યો છે. કાલાસર અને તેની પાસે આવેલા સવાઈસર ગામમાંથી જ પાંચેક હજાર વૃક્ષો સફાચટ કરી દેવાયાં છે. આ ગામના ખેડૂતો કહે છે કે અમને અણસાર પણ હોત કે સૌર પ્લાન્‍ટ ઊભો કરવા માટે કમ્પનીઓ ખીજડાનાં ઝાડ કાપી નાખશે તો અમે જમીન આપત જ નહીં, કેમ કે, જમીન લીઝ પર અપાઈ એમાં જોગવાઈ હતી કે એકે વૃક્ષ કાપવામાં નહીં આવે.

    In Bikaner district’s Bhanipura village, farmers estimate that 10,000 khejri trees have been cut since 2024 for a solar plant(Photographs: Aziz Bhutta)
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    સ્વાભાવિક રીતે જ આમ બનવાથી આ વિસ્તારના લોકો ક્રોધે ભરાયા અને ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬થી બીકાનેરના બિશ્નોઈ સમાજના લોકોએ ‘ખીજડા બચાવો આંદોલન આરંભ્યું. એક બે કે પાંચ દસ નહીં, સેંકડો લોકો સ્વયંભૂ તેમાં જોડાયા, જેમાં અન્ય રાજ્યોના લોકો પણ સામેલ છે. આ આંદોલનને મળેલા વ્યાપક જનસમર્થનને પગલે આખરે રાજસ્થાનના મુખ્યમંત્રીએ ૫ ફેબ્રુઆરીએ વિધાનસભામાં ખીજડાનાં વૃક્ષો બચાવવા માટેનો કાયદો ઘડવાની ઘોષણા કરવી પડી. આ સરકારી આશ્વાસન પછી બીકાનેરમાં મામલો થાળે પડી ગયો. પણ ખેજડલા રોહી વિસ્તારના કિશનારામ ગોદારા નામના એક ખેડૂત બીકાનેરમાં આવેલા કલેક્ટર કાર્યાલય સમક્ષ છેક ૧૮ જુલાઈ, ૨૦૨૪થી ધરણા કરી રહ્યા છે. આ વિસ્તારના નોખા દૈયા ગામની કુલ ૨,૩૦૦ વીઘાં જમીનમાં સૌર પ્રકલ્પ આવી ગયા છે અને હજી બીજી પાંચસો વીઘાં જમીનમાં તે આવી રહ્યા છે. જુલાઈ, ૨૦૨૪4માં અહીંયાં રાતોરાત ખીજડાનાં વૃક્ષ કાપી નાખવામાં આવ્યા. તેને કારણે કિશનારામે ધરણાંનો આરંભ કર્યો. તેમના સમર્થનમાં બિશ્નોઈ સમાજના અન્ય લોકો જોડાતા ગયા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬નો દિવસ તેમના ધરણાનો ૫૬૮મો દિવસ હતો.

    કમ્પનીએ સામ, દામ, દંડ, ભેદ જેવા પેંતરા આ ખેડૂતો પર અજમાવ્યા, પણ નિષ્ફળતા મળી. કિશનારામની ત્રણ મુખ્ય માગણીઓ છે. એક તો રાજસ્થાનના રાજવૃક્ષ ગણાતા ખીજડાના કાપવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ, બીજો રાજસ્થાન ટ્રી એક્ટ બનાવવામાં આવે અને કોઈ પણ વૃક્ષો કાપ્યા વિના સૌર પ્લાન્‍ટનું નિર્માણ કરવામાં આવે. બિનઉપયોગી જમીન હોય એવે સ્થાને તે ઊભા કરવામાં આવે, કેમ કે, કૃષિલક્ષી જમીન અને પર્યાવરણના ભોગે એને સ્વિકારી શકાય નહીં. તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં નહેર આવી રહી છે, આથી વિવિધ પ્રકલ્પો પણ આવી રહ્યા છે અને ખેડૂતોના ભાગનું પાણી આ પ્રકલ્પોને મળી રહ્યું છે. ગામમાં ઊભા કરાયેલા સૌર પ્લાન્‍ટ માટે રોજેરોજ પાંચ-છ હજાર લિટરની ક્ષમતા ધરાવતી વીસેક ટેન્‍કર ભરીને પાણી વપરાય છે. કેવડો મોટો જથ્થો! કિશનારામ ભારપૂર્વક જણાવે છે કે પોતે સૌર પ્રકલ્પના વિરોધી નથી.

    નાણાં અને વિકાસની લ્હાયમાં પર્યાવરણનું, કુદરતનું નિકંદન કાઢતાં જરાય ન અચકાવું એ આધુનિક યુગની તાસીર બની રહી છે. તેમાં કોર્પોરેટ ક્ષેત્ર સાથે રાજકારણીઓ હાથ મિલાવે એટલે સ્વાર્થ સિવાયનું બધું કોરાણે મૂકાઈ જાય છે. વિકાસ થાય એમ સૌ કોઈ ઈચ્છે છે, પણ એ કેટલો અને ખાસ તો કોના ભોગે એ સવાલનો જવાબ મેળવવાની તસદી ભાગ્યે જ લેવામાં આવે છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૨૬-૩– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • ગયાના – નદીઓ અને જંગલોનો દેશ : ૧૫

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    જિયોના કેન્દ્ર ભાગમાં આવેલું નૅશનલ મ્યુઝીયમ એક ખૂબ મોટા મકાનમાં વસાવેલું છે. જેવું બહારથી મોટું છે, તેવું જ એ અંદરથી મોકળું છે. છેક ૧૯૫૧થી આ સંગ્રહાલય ખુલ્લું મૂકાયેલું છે. એમાંનાં પ્રદર્શન પણ સારાં છે. જાણે અહીં બધું જ થોડું થોડું જોવા મળી જાય – દેશનો થોડો ઇતિહાસ, થોડું સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીઓ વિષે, અને અમરીન્ડિયન પ્રજાની રહેણીકરણી ને પોષાક વેગરે વિષે. કેટલાંક વહાણોનાં મૉડલ મૂકેલાં હતાં, અને અંગ્રેજોના જમાનામાં સરકારને ભેટમાં મળેલી એક રોલ્સરોઇસ ગાડી પણ ત્યાં ગોઠવી દીધેલી.

    ઘણા ગરીબ દેશોનાં મ્યુઝીયમ સાવ ધૂળિયાં અને નિસ્તેજ હોય છે, પણ આ એવું બીલકુલ નહતું. આ તો સાફ અને રસ પડે તેવું હતું. થોડાં સ્થાનિક કુટુંબો પણ જોવા આવેલાં, એટલે વસ્તી પણ લાગી. અંદર ફોટા લેવાની મનાઈ હતી, પણ એની બારીમાંથી, બહાર પાસે જ રહેલી નૅશનલ લાયબ્રેરીનો ફોટો મેં લીધો. એનું મકાન નીચું અને લાંબું હતું. એ પણ જોવું ગમ્યું હોત, પણ ત્યાં જવાયું નહીં.

    મ્યુઝીયમની સામેના રસ્તા પર થોડી નાની હાટડીઓ હતી. એમાં દેશની હસ્તકળાની ચીજો વેચાતી હતી. કી-ચેનો અને પોસ્ટકાર્ડ ઉપરાંત કેન-વણાટની નાની ચીજો, લૅધરનાં ચંપલ, મણકાની માળા-બંગડીઓ, કોઈએ જાતે ચિતરેલાં ચિત્રો વગેરે વેચાતું હતું. જોવામાં બધું રંગરંગીન અને સરસ લાગે, પણ વપરાય એવું કશું ના લાગ્યું. લોકોને કશી આવક ના કરી શકવા માટે પણ જીવ બળે.

    નજીકમાં જ ગયાનાનું મુખ્ય ઍન્ગ્લિકન ખ્રિસ્તી દેવળ હતું. એને ફરતે થઈને અમે ગયાં. એ સમયે એ બંધ હતું, નહીં તો કદાચ અંદરથી જોઈ શકાત. એ આખું લાકડાંનું બનેલું છે, અને ૧૪૩ ફીટ ઊંચું હોઈ, એ આખી દુનિયાની ઊંચામાં ઊંચી લાકડાની બનેલી ઇમારત ગણાય છે. કૅથિડ્રાલનું નવેસરથી સફેદ રંગેલું, કમાનો અને કાચની બારીઓથી સજ્જ આ બાંધકામ બહુ સુંદર દેખાયું. ચાલુ ગાડીએ મેં એક-બે ફોટા લીધા.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    આવાં જૂના વખતનાં મકાનોની સાથે સાથે, કેન્દ્ર વિભાગમાં હવે નવી, મૉડર્ન ઇમારતો પણ થવા માંડી છે. એવાં બે ઊંચાં, મોટાં મકાનો ઑફીસો અને મોટી કંપનીઓ માટેનાં હશે, એમ લાગ્યું. અહીં બધા રસ્તા વન-વે છે, એટલે થોડું ફરવું પડે. શહેરની મુખ્ય માર્કેટ પાસે પહોંચ્યાં ત્યારે ગાડીઓ પાર્ક કરવાની જગ્યા શોધવા માટે પણ ફરવું પડ્યું.

    ખૂબ જ ભરચક અને ભીડવાળી જગ્યા. લોકો લોકો, અને સ્થાનિક લોકોના ટ્રાન્સ્પૉર્ટ માટેની, પાર વગરની મિનિ-બસો. સામે, ડાબે, જમણે- બધે એટલો બધો કચરો દેખાય, અને એક તરફ મોટો ઊકરડો થયેલો હતો. નાની-મોટી નકામી ને ભંગારની અસંખ્ય ચીજો ત્યાં ફેંકાયેલી હતી. સાધારણ રીતે, ગરીબ દેશનું આ જ સ્વરૂપ હોય છે. પણ ગયાનાની વસ્તી તો કેટલી ઓછી છે, છતાં આ સ્વરૂપ?, આ સ્વભાવ? ને તે કેન્દ્ર વિભાગમાં જ. અન્યત્ર ક્યાં જોઈ ગંદકી?

    ચારે તરફ રસ્તાઓ પર સળંગ દુકાનો થયેલી હતી. અઢળક કપડાં અને પગરખાં બધે દેખાયાં. કાંઈ લેવું ના હોય, એટલે ઊતરીને ત્યાં ફરવા માટે ગાડી પાર્ક કરવાનો પ્રયત્ન ના કર્યો. વચમાં હતું જિયોની મુખ્ય માર્કેટનું આગવું સ્થાપત્ય. સાઠેક વર્ષ પહેલાં એ બન્યું. ત્રિકોણાકાર છાપરાંવાળા નીચા લાંબા બાંધકામમાં અનેક દુકાનો બનેલી છે. ત્યાં બધુંયે મળે – સસ્તાં શાકભાજીથી માંડીને સોનાનાં મોંઘાં ઘરેણાં.

    જોકે, આ સામે તરફથી ખ્યાલ નથી આવતો, કે એનો પાછલો ભાગ છે જ નહીં. એક જમાનામાં ચારે બાજુ દુકાનો હશે, એની અંદર. હવે આ એક બાજુ જ છે. આ સ્ટાબ્રોક માર્કેટની ખાસ નિશાની તરીકે રહેલું છે એક ઊંચું ક્લૉક ટાવર. એની ચારેય દિશામાં ઘડિયાળ તો છે, પણ જે તરફથી જુઓ ત્યાં સમય ખોટો હોય. કોણ જાણે કયા જમાનાથી બંધ પડ્યાં હશે આ જાહેર ઘડિયાળો. છતાં, ગેરુઆ રંગે રંગેલું ટાવર ફોટો લેવા માટે આકર્ષક લાગે ખરું.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    રસ્તામાં દેશનું પાર્લામૅન્ટ હાઉસ જોયું. ૧૮૩૪માં બનેલું, ઇંગ્લિશ કોલોનિયલ શૈલીનું એ સ્થાપત્ય એકદમ મુખ્ય રસ્તા પર છે. બહાર ગાર્ડન નાનો જ છે, અને કોઈ સંતરી પહેરો ભરતા દેખાયા નહીં. જિયોની મ્યુનિસિપાલિટીનું, લાકડાંનું બનેલું મકાન ૧૮૮૯માં બંધાયેલું, અને દેશની હાઈકૉર્ટ ૧૮૮૭માં ખુલેલી. વૃક્ષોની શોભાવાળાં, પહોળા માર્ગો પર રહેલાં, સારી રીતે રંગેલાં અને સ્વચ્છ રખાતાં આ બધાં સરકારી મકાન બહુ સરસ અને મોભાદાર લાગે છે.

    પ્રોમેનાડ ગાર્ડન આમ નાનો કહેવાય, પણ છે બહુ જ સરસ. કેટલાં બધાં ઝાડ, ફૂલો, અને ત્રણ-ચાર જુદી જુદી જાતનાં તાડનાં વૃક્ષો. મોટા પંખાના આકારનું એક ઝાડ તરત નજર ખેંચતું હતું.

    ફરતાં ફરતાં, ગુલમહોરના એક પુષ્ટ તરુની નીચે, અચાનક અમને ગાંધીજીની પ્રતિમા દેખાઈ ગઈ. એક હાથમાં લાકડી અને ચાલવાની મુદ્રામાં એક પગ આગળ. મોઢા પર અત્યંત મધુર સ્મિત.

    અમે ખુશ તો થયાં જ, પણ લાગણીવશ પણ થઈ ગયાં. બધાંએ મળીને ત્યાં ઊભાં ઊભાં, ગાંધીજીને પ્રિય એવું ભજન ‘વૈષ્ણવ-જન’ ગાયું. હાથ જોડીને, આંખો બંધ કરીને ઘડીક થોભ્યાં પણ ખરાં. હૃદયસ્પર્શી હતી એ ક્ષણો અમારાં બધાંને માટે.

    આ પછી ઝૂ અને બોટાનિકલ ગાર્ડનમાં ગયાં. એક જ દંપતી ગ્રાન્ડ ચિલ્ડ્રનને બતાવી શકાય તેવા ફોટા લેવાના ઉદ્દેશથી ઝૂમાં ગયું. પાછાં આવીને કહે, કે થોડાં ખાસ પંખીઓ સિવાય બહુ બીજું નહતું. અમે તો જાજરમાન વૃક્ષોની ઘટામાં ટહેલતાં રહ્યાં. એમનો છાંયડો સારો હતો, પણ ક્યાંય અડકાય કે બેસાય તેવું નહતું, કારણકે ઘટાદાર ડાળીઓ પરથી સોનેરી મંકોડા પ્રચુર પ્રમાણમાં માથાં પર પડતા રહેતા હતા. વળી, બોટાનિકલ ગાર્ડન જેવું ખાસ દેખાયું નહીં. કદાચ છે ને પાછલી બાજુ પર હોય, પણ તાપ ને તડકો એવો કે વધારે ચાલવું ગમે તેમ નહતું.

    છેલ્લે કાસ્તેલાની હાઉસ નામના મકાનમાં બનેલી આર્ટ ગૅલૅરી જોવા મળી. ગયાનિઝ કળાકારોએ બનાવેલાં ચિત્રો, શિલ્પ, સિરૅમિક વગેરે કૃતિઓ ઘણી સરસ હતી. ખરેખર, કળા-કૌશલ્યને દેશ કે જાતિનાં બંધન ક્યાં નડે છે?


    ક્રમશઃ


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સ્મૃતિસંપદા : રેખા સિંધલઃ શૂન્ય થી અનંતની સફર [૧]

    ટેનેસી રાજ્યમાં ઘરમાં જ ગણિત જેવા અઘરા વિષયના વર્ગો ચલાવતાં રેખા સિંધલ ૧૯૮૯માં અમેરિકા આવ્યાં તે પહેલાં વેરાવળ(સોમનાથ)ની માધ્યમિક શાળામાં ગણિત-વિજ્ઞાનનાં શિક્ષિકા તરીકે કાર્ય કરતાં હતાં. સ્ત્રી કેળવણી જ્યારે નહિવત્ હતી તે સમયમાં શિક્ષણ દ્વારા જાગૃતિને પ્રાધાન્ય આપીને શૈક્ષણિક રીતે પછાત એવા રબારી સમાજમાં નવી કેડી કંડારી હતી. માઈક્રોબાયોલોજીમાં સ્નાતક થઈ શિક્ષકા તરીકેની તાલિમ લીધા પછી અમેરીકામાં રહી વર્ષો બાદ એમણે ગુજરાતી વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી.

    તેમનો જન્મ ૧૯૫૬માં વેરાવળમાં થયો હતો. છાપાં અને રેડિયો પર તેમની કૃતિઓ તેઓ ભારતમાં હતાં ત્યારે પણ પ્રગટ થતી રહેતી. અમેરિકા આવ્યા પછી આ પ્રવૃતિને વેગ મળ્યો. હરિફાઈઓમાં ક્યારેક વિજેતા થતી તેમની કૃતિઓ થકી લેખિકા તરીકેની ઓળખ જળવાઈ રહેતી.

    દરિયાપારનાં સાહિત્ય સર્જનમાં એમને વિશેષ રસ છે. વર્ષોના વાંચનની ફલશ્રુતિરૂપે તેઓ દ્વિદેશી સાહિત્યના રસજ્ઞ અને મર્મજ્ઞ સિદ્ધ થયા છે. કવિ સંમેલનો, નાટકો, એકપાત્રીય અભિનય જેવા અનેકવિધ કાર્યક્રમોના આયોજક તરીકે તેઓનું નામ જાણીતું છે.

    સાહિત્યક્ષેત્રે તેઓ નિવૃતિકાળમાં પણ સક્રિય છે. તેમનું વધુ પ્રદાન સામાજિક સંસ્થાઓમાં સેવા તથા બાળકોને ગણિત દ્વારા આત્મવિશ્વાસ કેળવવા ક્ષેત્રે રહ્યું છે. ઘમ્મર વલોણાથી માખણ ઉતારવાથી માંડીને રીસર્ચ લેબમાં DNA Cloning સુધીના કાર્યો કરતાં કરતાં પૂર્વીય ગ્રામ્ય સંસ્કૃતિથી શરૂ કરી પશ્ચિમી શહેરી સંસ્કૃતિ સુધીની જીવનસફર તેમણે ખેડી છે. એટલું જ નહિ, વાંચન-લેખનનો રસ સતત જાળવી રાખી વિવિધ રીતે સાહિત્યના ક્ષેત્રમાં સક્રિય રહ્યાં છે.

    એમના બ્લોગનું એડ્રેસ www.axaypatra.wordpress.com છે.

    Email: rekhasindhal@gmail.com


    અમેરીકામાં પ્રવેશ અને સંઘર્ષ

    બોસ્ટનના લોગન એરપોર્ટ પર ૧૩મી મે ૧૯૮૯ના રોજ ઈમીગ્રેશનની લાંબી લાઈનમાં પતિ અને ત્રણ દીકરીઓ સાથે હું ઊભી હતી. ચારેબાજુની ખુશનુમા ચહલપહલ નિહાળીને મારાં ચહેરા પર આપોઆપ પ્રસન્નતાની એક ઝલક ઊભરી આવી હતી. વિમાનની યાત્રાનો આ મારો પ્રથમ અનુભવ હતો. એ પણ ખૂબ લાંબી અને દરિયાપારની! ઘડિયાળના કાંટા સમયનો ફેરફાર દર્શાવતા હતા. લગભગ બાવીસ કલાકની આ મુસાફરીમાં મોટી રાહત એ હતી કે મારી બહેનનો પરિવાર અમારી સાથે હતો અથવા કહો કે અમે એમની સાથે હતાં. તેઓ બોસ્ટનમાં બે વર્ષ રહી ચૂક્યાં હતાં આથી એમને આસપાસના માહોલની કોઈ નવાઈ ન હતી. ઊડીને આંખે વળગતી સ્વચ્છતા અને ઘોંઘાટ વગરની શિસ્તબદ્ધ મેદનીને હું વિસ્મયથી નિહાળી રહી. આજુબાજુના લોકોના સ્મિત રેલાવતા ચહેરાઓમાં મારાં એટલે કે એક પરદેશીના સ્વીકારની ભાવનાનું પ્રતિબંબ પડતું હોય એવું અનુભવાયું. પાસપોર્ટ પર પ્રવેશની મંજૂરીનો સિક્કો મારનાર અફસરના સ્મિતથી આ ભાવના દ્રઢ થઈ. એ સમયે મને લાગ્યું કે સ્મિત આપવામાં આપણે ભારતીયો ઘણા કંજૂસ છીએ. આ કારણે થોડી નાનપ પણ અનુભવી. એટલામાં એક બાળક એની માતાનો હાથ પકડીને મારાં કપાળ તરફ આંગળી ચીંધવા લાગ્યો જ્યાં મેં લાલ ચાંદલો કર્યો હતો. સ્લીવલેસ ટોપ અને સ્કર્ટ પહેરેલી એ માતાની નજર મારી સાડીના રંગો પર પણ ફરી વળી. એક આખી સંસ્કૃતિને સાડીના પાલવમાં વીંટીને હું મારી સાથે લાવી હતી.

    આ સમયે મારી ઊંમર ૩૨ વર્ષની હતી. બે ટીનએજર જોડિયા દીકરીઓ અને ત્રીજી સૌથી નાની દીકરી ત્રણ વર્ષની હતી. મારાં પતિ પ્રતાપને દેશમાં ટેલીફોન ઓપરેટરની નોકરી હતી. હું માધ્યમિક સ્કૂલમાં ગણિત-વિજ્ઞાનની શિક્ષિકા હતી. મારાં મોટાં બહેને અમારાં માટે ગ્રીનકાર્ડની અરજી કરેલ તેથી અમે આવી શક્યાં હતાં.

    અમને લેવા એરપોર્ટ પર મારાં મોટાભાઈ, તેની પત્ની જે મારાં પતિની સગીબહેન થાય તે અને તેમનો પુત્ર આવ્યાં હતાં. એમની કારમાં બેસી અમે દરિયાની ખાડી નીચેથી પસાર થતા લાંબા ભૂગર્ભમાર્ગની બહાર નીકળ્યાં. ઘોંઘાટ વગરનાં અનેક વાહનોનો અસ્ખલિત પ્રવાહ પહોળા રસ્તાઓ પર વહેતો હતો. બંને બાજુએ ઊંચા વૃક્ષોની હારમાળા ઊભી હતી પણ દૂર સુધી ક્યાંય કોઈ માનવસંચાર નહીં. આ દ્રશ્ય પણ કલ્પનાતીત હતું. અમેરીકાની ભૂમિના સેવેલા સ્વપ્નોમાં આ વાસ્તવનો ક્યાંય અણસાર ન હતો. અહીંના જાહેર રસ્તાઓ ખૂબ સ્વચ્છ હતા. અહીં આવતાં પહેલાં અમેરીકા વિષે ઘણું સાંભળેલું એ થકી બંધાયેલા ખોટા ખ્યાલો અચરજમાં પલટાઈને નવી દુનિયાનો પરિચય આપતા હતા.

    ભાઈના ઘરે પહોંચીને અમે બેગો ઉતારતાં હતાં ત્યારે સૂર્ય પશ્ચિમ ભણી ગતિ કરી રહ્યો હતો. ફક્ત ૪૦ ડોલરની મૂડી લઈ અમે અહીં પ્રવેશ્યાં હતાં પણ સહોદરના સ્મિતભર્યા મધુર આવકારને કારણે નચિંત હતાં. ભાઈના હુંફાળા ઘરમાં સ્નાન અને ભોજન બાદ પથારીમાં આડાં પડ્યાં ત્યારે ખબર ન હતી કે આજનાં આ બધાં જ સુખદ આશ્ચર્યોને સ્થાને એક મોટો દુઃખદ આંચકો બીજે દિવસે અમને હચમચાવી મૂકવાનો હતો.

    બીજે દિવસે રવિવાર હતો. સવારના પહોરમાં પડોશીઓને ખલેલ ન પડે તે ધ્યાન રાખવા ભાઈએ ખૂબ ધીમા અવાજે વારંવાર કહ્યું પણ વર્ષોની આદત એકદમ તો કેમ છૂટે? ચાર બાળકો અને ચાર મોટાં થઈ અમે આઠ જણાં બે બેડરૂમના એપાર્ટમેંટમાં વિસ્મય અને આનંદથી આંખો ચોળતા કલબલાટ કરતાં હતાં. નળની ચકલી એકબાજુ ફેરવીએ તો ગરમ પાણી અને બીજી બાજુ ફેરવીએ તો ઠડું પાણી આવે જેવી સાદી વાત પણ એ સમયે તો નવાઈ પમાડતી હતી. દસ બેગોમાં અમે મગ, તુવેર, મસાલા, લોટ અને કપડાં વિગેરે ભરીને લાવ્યાં હતાં. અને બીજો કેટલોય સામાન હૈયાના ખૂણાઓમાં ભરીને લાવ્યા હતા. વાતોમાં અને સામાન ગોઠવવામાં સાંજ પડી ગઈ. સાંજે જમીને નિરાંતે બેઠા હતા ત્યારે અમને જાણ થઈ કે ઊજળા ભવિષ્યની આશાએ જે ઘરની છત નીચે અમે આશરો લીધો છે તે ઘર તૂટી રહ્યું છે. ભાઈ-ભાભીના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલે છે. આ અણધાર્યા સમાચારે અમને વિહવળ કરી મૂક્યા.

    આ છૂટાછેડાથી મારાં પિયર અને સાસરા વચ્ચેના સંબંધો તૂટી રહ્યા હતા. બંને પક્ષના વડીલોના આધિપત્ય નીચે દેશમાં છૂટાછેડા શક્ય ન હતા. સંયુક્ત કુંટુંબમાંથી વિભક્ત થવાથી અમેરીકામાં એમનો મેળ વધશે એવી ધારણા ખોટી પડી હતી. વાત કોર્ટ સુધી પહોંચી હતી તે ખબર હોત તો અમે કદાચ અમેરીકા આવ્યાં જ ન હોત. એટલુ સારૂં હતું કે છૂટેછેડા સુધી વાત પહોંચી હોવા છતાં બંનેને એકબીજા પ્રત્યે દુર્ભાવ ન હતો. લગ્ન એમના માટે પરાણે પ્રીતનું બંધન હતું એટલે છૂટાછેટા એ બંને માટે મુક્તિ હતી.

    કોર્ટે મારાં ભાઈને એપાર્ટમેંટ છોડવાનો આદેશ આપ્યો. ભાઈ ન્યૂયોર્ક એના મિત્ર પાસે જવાના હતા. ભાભી-નણંદનો સામસામો સંબંધ હોવાને કારણે અમે પ્રતાપની બહેન સાથે રહી શકીશું તેવી આશા હતી. પ્રતાપની બહેનના કહેવાથી કોર્ટ અમને પણ એપાર્ટમેંટ છોડવાનો આદેશ આપ્યો તેનું અમને ખુબ આશ્ચર્ય થયું. પ્રતાપે પરદેશમાં નાનીબેનને એકલી મૂકી દીધી તેવી અફવા દેશના અમારાં સમાજ અને કુંટુંબમાં ફેલાઈ ગઈ જ્યારે અહીં પરિસ્થિતિ વિપરીત હતી. અમારે ક્યાં જવું તે વિકરાળ પ્રશ્ન ઓચિંતો જ સામે આવ્યો હતો. હું વિહવળ થઈ ગઈ. અમેરીકા આવતા જ બહારની દુનિયા તો બદલાઈ પણ ભીતરની દુનિયા પણ કોર્ટના નિર્ણયથી અચાનક જ બદલાઈ ગઈ. નવી દુનિયામાં ગોઠવાયા પહેલાં જ જૂની દુનિયામાંથી ફેંકાઈ ગયા.

    જે દિવસે અમે કોર્ટની નોટિસ વાંચી તે સાંજે અમે પતિ-પત્ની નજીકમાં આવેલ એક શોપીંગ સેંટરને ખૂણે હાથમાં હાથ ભીડી ક્યાંય સુધી વેદના ઠાલવતાં ઊભાં રહ્યાં. હવે શું થશે? વિચારતા આંખમાં ઝળઝળિયાં આવી જાય. અમે ક્યાં જઈને રહેશું? એ ચિંતા સાથે ઘરમાં પાછાં આવ્યાં. આ છૂટાછેડાને કારણે હું પિયર અને સાસરા એમ બંને કુંટુંબમાંથી વિખૂટા પડી ગયાની સ્થિતિ અનુભવતી હતી.

    દેશ પાછાં જવા માટે ટિકિટના પૈસા ન હતા. મારૂં સાસરૂં અને પિયર બંને શ્રીમંત હોવા છતાં અહીં આવવા માટે અમારે સોનાના દાગીના બેંકમાં ગીરવે મૂકી લોન લેવી પડી હતી. બે વેવાઈઓની સામસામે દીકરીની લેવડદેવડના સંબંધમાં મારી નણંદ અને મારાં ભાઈ વચ્ચેના અણબનાવને કારણે સાસરીમાંથી મને અને મારાં પતિને જાકારો મળ્યો હતો અને પિયરની મહેમાન થઈ હું અમેરીકા આવી હતી. ભૂંસાયેલી ઓળખ, નિષ્ફળતા અને હજારો રૂપિયાના કરજ સાથે દેશમાં પાછાં ફરવા કરતાં મરી જવું સારૂં એવો એક તરંગ પણ મનમાંથી પસાર થઈ ગયો હતો.

    ક્ષણાર્ધ માટે મનમાં પ્રવેશેલા આ આત્મઘાતી વિચાર માટે આજે મને શરમ ઉપજે છે. સામે સિંહ આવે તો ય ગભરાટ ન થાય તે રીતે ગીરના જંગલમાં હું ઊછરી છું. આ જંગલમાં સૌ પ્રથમ મારાં બાપુજીએ વાવેલો કેસર કેરીનો બગીચો અમારૂં વેકેશન હોમ હતું. આ આંબાના બગીચામાં પ્રવેશતા પહોળા રસ્તાની ધારે ધારે બંને બાજુ લગભગ વીસ જેટલાં નાળિયેરીનાં વૃક્ષોની હારમાળા અને વચ્ચે ગુલાબના છોડ જોવા મળે. ઘરના ખૂલ્લા પ્રાંગણમાં ગુલાબ અને મોગરા સાથે બીજા કેટલાંક ફૂલોના ક્યારાઓ હતા. ફૂલોને છોડથી અલગ કરવાનું મન ન થાય એવા શોભતા હોય. આ વિશાળ વાડીના આંબાની ડાળ સાથે રમતાં રમતાં મેં ઘણા પુસ્તકો વાંચ્યાં છે. ચારે ય દિશામાં દૂર સુધી આંબાના ઝાડ સિવાય કંઈ ન દેખાય. આજુબાજુ ટહૂકતા મોરની કળા જોવાની નવાઈ નહીં. કોયલના ટહુકા હજુ ય મનમાં પડઘાય છે. જંગલી પ્રાણી કઈ બાજુથી ક્યારે આવે તે નક્કી નહીં તેથી ડર વગર સતર્ક રહેવાની ટેવ નાનપણથી પડી હતી. ગીરનારના પર્વતો અહીંથી બહુ દૂર નહીં. જન્મસ્થળ વેરાવળમાં અરબી સમુદ્ર નજીક પણ એક વિશાળ બંગલો હતો. સ્કૂલ ચાલુ હોય ત્યારે ત્યાં રહેવાનું. ઘરની અગાશીમાંથી દરિયાના ઊછળતા મોજાં જોઈ શકાય. રેતીમાં રમતાં રમતાં આ મોજાઓની ખારાશને પીધી છે. તે સમયે કલ્પના પણ ન હતી કે દરિયાપારની સ્વર્ગ જેવી આ અજાણ ભૂમિ પર એક દિવસ હું ગીરના જંગલને ઝંખીશ.

    મારાં ભાઈએ અમારાં માટે એપાર્ટમેંટ ભાડે રાખ્યું. બીજે મહિનેથી અમે ત્યાં રહેવાં ગયાં. કર્જનો આંકડો વધતો જતો હતો અને નોકરીની આશા ઘટતી જતી હતી. એક રવિવારની સવારે ભાઈ મને નજીકની એક સ્કૂલના મેદાનમાં લઈ ગયા. “લે ગાડી ચલાવ અહીં ડ્રાઈવરની સીટ પર આવી જા.” એટલું કહી દરવાજો ખોલી ઊતરી ગયા અને મારાં ઊતરવાની શાંતિથી રાહ જોવા લાગ્યા.

    “અરે પણ મને…” મારાં આ વાક્યને વચ્ચેથી કાપીને કહે,” તું જો તો ખરી, કાંઈ અઘરૂં નથી. હું છું ને તારી બાજુમાં” ભાઈએ મને હિંમત આપી.

    ગભરાતાં ગભરાતાં મેં સીટ બદલી સ્ટિયરીંગ વ્હીલ પર હાથ મૂક્યો. શરીરમાંથી ધ્રૂજારી પસાર થઈ ગઈ. પેડલ દબાવતા પગે પાણી ઉતર્યું. સ્પીડ વધે એટલે ડર વધે અને જોરથી બ્રેક પર પગ મૂકાઈ  જાય. એકાદ કલાકની પ્રેક્ટીસ પછી અમે ઘરે પહોંચ્યાં ત્યારે આતુરતાથી મારી રાહ જોવાતી હતી. એ સમયે હજુ સેલ ફોનનું ખાસ ચલણ ખાસ નહોતું.

    પતિની આંખમાં પ્રશ્નો, દીકરીઓની આંખોમાં કૂતુહલ અને મારી આંખોમાં આશા અંજાયેલી હતી. નાની દીકરી દોડીને મને વળગી પડી. પરિવાર પ્રત્યેના ભરપૂર પ્રેમના ઉછાળાએ મને ભીંજવી દીધી. ભારત પાછાં જવાના વિચારને ધકેલી મક્કમતાથી મેં પાછળનો દરવાજો બંધ કર્યો. જીવનની ગાડી હંકારવાની હિમંત મને આ પહેલાં લેશનમાં મળી ગઈ.

    સંજોગોનો સ્વીકાર કરવાનું તો ફરજીયાત હતું પણ હાર સ્વીકારવાનું નહીં. “ડગલું ભર્યુ કે ના હઠવું” કવિ નર્મદની આ પંક્તિ મનમાં અંકિત હતી.

    પ્રથમ અમારે આર્થિક સ્વાતંત્ર્ય માટે તક શોધવાની હતી. જોબ માટે કેટલીય જગ્યાએ એપ્લાય કરીએ. કોઈક ઈંટરવ્યુ માટે બોલાવે તો ખુશ થઈ જઈએ. ઈંટરવ્યુમાં શું પૂછે છે તે સમજ્યા વગર ‘યસ’ અને ‘નો’ કહીને ઉદાસ ચહેરે ઘરે પાછાં આવીએ. ભાષાના અજ્ઞાને મુશ્કેલીમાં ઊમેરો કર્યો. નોકરી મેળવવાનું તો મુશ્કેલ હતું જ પણ દેશમાં પાછાં જવું  એથી ય વધારે મુશ્કેલ હતું. કેટલાય પ્રયત્નો પછી ડીપાર્ટમેંટલ સ્ટોર્સમાં નોકરી મળી. ‘રસેલ’માં ફૂલટાઈમ અને ‘બ્રેડલીઝ’માં પાર્ટટાઈમ એમ બે જોબ મળી. પ્રતાપને લાકડાના બોક્ષ બનાવતી એક કંપનીમાં ઓવરટાઈમવાળી જોબ મળી ગઈ. ભાષાનો પ્રશ્ન ધીરે ધીરે હલ થતો રહ્યો.

    જોબ મળી પણ દીકરીઓનો પ્રશ્ન મોઢું ફાડીને સામે જ ઊભો હતો. ડે કેરનો ખર્ચ પોસાય તેમ ન હતો.  હું જોબ પર હોઉં ત્યારે દીકરીઓનું બેબીસીટીંગ મારી નાની બહેન કરતી પણ અમારી સમસ્યાનો આ કાયમી ઉકેલ ન હતો. હું અને પ્રતાપ સવારના છ વાગ્યે ઘરેથી નીકળીને રાતે ૯ વાગ્યે પાછાં આવીએ. સવારે જોબ પર જતી વખતે મારી સૌથી નાની દીકરી મને વળગીને એટલી રડે કે હું પણ રડી પડું. રાત્રે ઊંઘમાં પણ એના ડૂસકાં સંભળાય. અમે સ્વાવલંબી થઈ શકીશું કે કેમ? નવા જીવનની શરૂઆત અઘરી જ હોય પણ આટલું અઘરૂં પડશે તે ધાર્યું ન હતું.

    થોડા સમય પછી એક મેડિકલ લેબોરેટરીમાં વધારે આવકવાળી રાતની નોકરી મળી. આવક વધી અને દીકરીઓને સાચવવાનો પ્રશ્ન હલ થયો પણ અરણ્યમાં કેડી કંડારવા જેવા વિદેશના વસવાટ દરમ્યાન હજુ તો અમારે ઘણી મુશ્કેલીઓ વેઠવાની હતી. એકતાએ એકવખત ઘરલેશનમાં સ્કૂલમાં એમને પડતી મુશ્કેલીઓ વિષે લખ્યું હતું તે વાંચીને તેની શિક્ષક રડી પડી તે જાણ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે બાળકોને પણ સ્કૂલમાં ઘણી મુશ્કેલીઓ હતી. આ નવા પ્રદેશના અજાણ્યા અને અણસમજુ બાળકો વચ્ચે તેમની શી સ્થિતિ છે તેની વાત સાંભળવા માટે સમયનો અભાવ હતો. હોમવર્ક અને ઈતરપ્રવૃતિમાં પણ સમય ઓછો પડતો. અભ્યાસમાં તેઓ પાછળ ન રહી જાય તે માટે જોબ પર અડધા દિવસની રજા લઈને પણ હું તેમની ગાઈડંસ કાઉંસીલર પાસે અવારનવાર જતી હતી. મિસિસ વીકોવીચ નામની એક શિક્ષિકા તેમને અંગ્રેજી શીખવાડવા ઘરે આવતી. બાળકોને બીજી ભાષા શીખવામાં પડતી મુશ્કેલીઓ ઉપર તે પી.એચ.ડી. કરતી હતી. સંશોધનના પ્રયોગાત્મક પરિણામો માટે તેણે મારી પાસે ગુજરાતી શીખવાનું શરૂ કરેલ. એકવાર તે મને કહે, “Do not compare your daughters’ results with each other. Compare their past results with current results and focus on their progress rather than grades” (દીકરીઓના પરિણામને એકબીજા સાથે નહીં પણ તેના અગાઉના માર્ક સાથે સરખાવી પ્રગતિ પર ધ્યાન આપ પરિણામ પર નહીં). જેને હું તંદુરસ્ત હરિફાઈ ગણતી હતી તે કેટલી અયોગ્ય છે અને સરખામણીના કેટલા ગેરફાયદા છે તેનો વિચાર કરવા હું એને કારણે પ્રેરાઈ. આથી એક જુદી જ દિશામાં મારાં વિચારો વિકસ્યા. તેની પાસેથી મને અહીંની સ્કૂલની પદ્ધતિ કેટલી જુદી અને વિધેયાત્મક છે તે પણ જાણવા મળ્યું.

    દેશમાં વ્યવસાયે હું શિક્ષક હતી અને અહીં કારકીર્દીની શરૂઆત લેબોરેટરીમાં થઈ. બીજા જ મહિને ભૂલભરેલા રીઝલ્ટ્સ પર મારી સહી માંગતા સહકાર્યકર સ્કોટ સાથે વાંધો પડ્યો. ટેસ્ટીંગ મશીનમાં તેણે સેંપલ્સની આખી Rack અવળી મૂકી હતી તેથી ૬૦ દર્દીઓના રીઝલ્ટ ખોટા હતા. આ મારાં ધ્યાનમાં આવ્યું તેથી મેં સહી કરવાની ના પાડી. કામ અમને બંનેને સોંપવામાં આવેલ તેથી તે ગુસ્સે થઈ ગયો. હું દલીલ કરવા લાગી. આજુબાજુની બેચ પર બીજા સહકાર્યકરો ચૂપ રહીને સાક્ષીભાવે અમને સાંભળતાં હતાં. તેમના દ્વારા આખી વાત સુપરવાઈઝર પાસે પહોંચી. શીફ્ટ પૂરી થતી હતી તેથી અમને બંનેને તેની ઓફિસમાં બીજે દિવસે મળવાનું કહ્યું. નોકરી હજુ કાયમી નહોતી થઈ અને સ્કોટ નામના આ ગોરા અમેરીકન યુવાન સાથે માથાકૂટ થઈ. હવે નોકરી કાયમી થશે કે કેમ તે શંકા સાથે ઘરે જઈને મેં ભાઈને આ વાત કરી. તે કહે, “આ કારણે તારી નોકરી જશે તો તારો રેકર્ડ ખરાબ થઈ જશે. તને બીજે મેળવવામાં પણ મુશ્કેલી થશે દેશમાં પાછાં જવું હોય તો વિચારી જોજે.”

    બીજે દિવસે સુપરવાઈઝરને મળવા જતાં પહેલાં વોશરૂમમાં જઈને હું ખૂબ રડી. ઢાળેલી આંખો સાથે હું ઓફીસમાં ગઈ. સુપરવાઈઝરે કહ્યું, “સ્કોટને આજે હું બરતરફ કરવાની છું. તેની ભૂલો થાય છે પણ મારી પાસે પુરાવો નહોતો. તારી કોઈ ભૂલ નથી, સહી ન કરી તે સારૂં થયુ. કોઈ તકલીફ હોય તો મને કહેજે.” “થેંક યુ વેરી મચ” કહેતા મારી રડેલી આંખો હસી ઊઠી. હ્રદય ફરીથી ભરાઈ આવ્યું પણ હવે ખૂશીને કારણે! તે રાતે સ્કોટ જોબ પર આવ્યો ન હતો અને હવે આવવાનો પણ ન હતો. પગમાંથી મણની બેડી નીકળી ગઈ હોય તેવી ત્વરાથી હું લેબમાં કામ કરવા લાગી. ત્રણ મહિનામાં કંપનીએ સ્પોકન ઈંગ્લીશના ક્લાસ ભરવા માટેની ફીના પૈસાની મંજૂરી સાથે મારી નોકરી કાયમ કરી. બીજે વર્ષે ઝડપી અને સારૂં કામ કરવા માટે એવોર્ડ પણ મળ્યો.

    અહીં ટકી શકાશે એમ લાગ્યું એટલે કપડાં ખરીદવાની જરૂર લાગી. અહીંનો પહેરવેશ અપનાવવો જરૂરી હતો. બોસ્ટનની ઠંડીને કારણે પેન્ટ-કોટ પહેરવાં પડ્યાં તેનો સંકોચ દૂર થતા થોડી વાર લાગી. પહેલીવાર પેન્ટ શર્ટ પહેરવાનું બહુ વિચિત્ર લાગેલ. દેશમાં છેલ્લાં બાર વર્ષોથી હું ગુજરાતી સાડી પહેરતી હતી. દેશમાં કોઈ મને ફોટામાં પણ પેંટ-શર્ટમાં ન જોઈ જાય તેનો ખ્યાલ હું શરૂઆતમાં રાખતી હતી. ગુજરાતીઓ સાથે નવરાત્રીના કાર્યક્રમો અને બીજા મેળવડાઓમાં સાડી જ પહેરતી. ધીરે ધીરે ગુજરાતી પરિવારો સાથે પણ પરિચય વધતો ગયો. આ પારકા પ્રદેશમાં અમે એકલા નથી એવો ભાવ પોષતી ગુજરાતી સંસ્થાઓમાં પણ જોડાવાનું થયું. જીવન વ્યસ્ત હતું પણ સાથે ખુશીની ઝરમર શરૂ થઈ હતી. કયારેક જનની અને જન્મભૂમિની યાદોના આંસુ પણ છલકી ઊઠે. આવી એક યાદના એક અવિસ્મરણીય અનુભવ પરથી લખેલ મારી કૃતિ થોડા ફેરફાર સાથે અહીં મૂકું છું. આ કૃતિને ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રોત્સાહક ઈનામ મળ્યું હતું.

    1992માં બાર્સેલોનામાં રમાતી ઓલિમ્પિક રમતોને ટી.વી પર નિહાળતી મારી પંદર વર્ષની બંને જોડિયા દીકરીઓ એક રમતવીરની જીતની ખુશીથી એકબીજાને તાલી આપી ફૂદરડી ફરતી ઝૂમી ઊઠી ત્યારે મેં કૂતુહલ સાથે પૂછ્યું હતું, “ઈંડિયા જીત્યુ? કઈ રમતમાં?”

    “નો….. મધર!” ‘નો’ પર ભાર મૂકીને એકતા કહે “અમેરીકા!”

    જવાબ સાંભળી હું  આશ્ચર્યમાં ડૂબી ગઈ હતી.

    બંને દીકરીઓની આંખોમાં વિસ્મયનો ભાવ મને વંચાયો. તેમાં આટલી સાદી સમજ મને કેમ ન પડી તે લખ્યું હતું પરંતુ મારાં વિસ્મયને સમજનાર તે સમયે ત્યાં અન્ય કોઈ હાજર ન હતું.

    ઓહ! તો આટલા ટૂંકા સમયમાં એક છત્ર નીચે રહેતો અમારો પરિવાર અજાણપણે બે દેશો વચ્ચે વહેંચાઈ રહ્યો હતો. જાણે  બે પેઢી વચ્ચે અદ્રશ્ય સીમારેખાઓ અંકાઈ રહી હતી અને અમને કોઈને તેની જાણ સુદ્ધાં ન હતી. ઓચિંતુ જ આ નગ્ન સત્ય નજર સમક્ષ ઉપસ્થિત થયું અને મારું હ્રદય ખળભળી ઉઠ્યું હતું. એક તરફ સાંજનો ઢળતો સૂર્ય ભારતમાં રહેતા માબાપની યાદ આપતો હતો અને બીજી તરફ ઉગતા સૂર્યને સંતાનો અમેરીકાની ધરતી પર નિહાળતા હતા. આ આથમતી અને ઉગતી પેઢી વચ્ચે સેતુ બનીને ઉચ્ચક મનથી અહીં વસતા સ્થળાંતરવાસીઓ અમે ક્યાંના…? તે પ્રશ્નનો ખોવાયેલ ઉતર આ પ્રસંગને અવિસ્મરણીય બનાવી મનના અતલ ઊંડાણ સુધી લઈ જાય છે

    માતૃભૂમિથી દૂર પારકા પ્રદેશમાં એટલે કે અમેરીકા આવ્યાને હજુ અમને ત્રણ વર્ષ થયાં હતાં. અમારી જીવનનાવ હજુ હાલકડોલક હતી. થોડા વર્ષો પછી કાયમ માટે વતન પાછાં ફરવાની ઈચ્છા તીવ્ર હતી પણ એ પહેલાં તો બસ એક જ લક્ષ્ય હતું કે વિકસવાની જે તકો અમને મળી ન હતી તે બાળકોને મળે તેમ કરવું અંને એ માટે રાત-દિવસ અમે મથ્યા કરતાં હતાં.

    અહીં નોકરી મેળવવાનું કે કરવાનું અઘરૂં ન હતું પણ પશ્ચિમના દેશમાં પૂર્વની સંસ્કૃતિ કેમ જાળવવી? તે સમસ્યા અમને સતત મુંઝવતી. સ્કૂલમાંથી બાળકો રોજ નવા વિચારો લઈને આવતાં અને તેનાથી ક્યારેક મન ગૌરવ અનુભવતું તો ક્યારેક ચિંતાથી ઘેરાઈ જતું.

    અમેરીકામાં પ્રવેશતાં જ સંઘર્ષની સાથે સાથે વિકાસની તકો પણ મળતી રહી.


    ક્રમશઃ

  • દિલીપ પરીખની એક અનોખી ચિત્ર શ્રેણી – સત્યમ શિવમ સુંદરમ

    રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ

    A brief note on paintings: Satyam, Shivam, Sundaram.

    When a dancer or a musician becomes one with the dance or music, there is no interference of thoughts. The movement of moment (which is time) stops, and one may experience inner Bliss. This is a state of meditation. When the mind is totally free of its content; a state of pure silence, then “Satyam” (truth) is experienced. “Shivam” is “Satyam” in action; one lives from moment to moment. Every action is “Shivam” then this totality flowers as beauty, which  is “Sundram.”

    ચિત્રો પર એક સંક્ષિપ્ત નોંધ: સત્યમ, શિવમ, સુંદરમ.

    જ્યારે નૃત્યાંગના અથવા સંગીતકાર, નૃત્ય અથવા સંગીત સાથે એક થઈ જાય છે, ત્યારે વિચારોની કોઈ દખલગીરી થતી નથી. ક્ષણની ગતિ (જે સમય છે) અટકી જાય છે, અને વ્યક્તિ આંતરિક આનંદનો અનુભવ કરી શકે છે. આ ધ્યાનની અવસ્થા છે. મન જ્યારે તર્ક-વિચારથી સંપૂર્ણ મુક્ત થાય છે (શુદ્ધ મૌનની અવસ્થા છે) ત્યારે “સત્યમ” અનુભવાય છે. “શિવમ” એ ક્રિયામાં “સત્યમ” છે; વ્યક્તિ ક્ષણે ક્ષણે જીવે છે. જ્યારે દરેક ક્રિયા શિવમ હોય છે ત્યારે આ સંપૂર્ણ સૌંદર્ય તરીકે ખીલે છે, જે “સુંદરમ” છે.

    DKP

    સાધકનું   દિવ્યજીવનસાધનાનેઅર્પણ
    ફલશ્રુતિસુખશાંતિ,  પ્રણવનેસમર્પણ… સરયૂ

                                                       

    સત્યમ શિવમ સુંદરમ. નૃત્ય: DKP
    કાવ્યોમાં લાગણીનું ભાવભીનું નર્તન,
    સત્ય શિવમ ચેતનાનું નૃત્યોમાં દર્શન… સરયૂ

    4’x6’ oil color :DKP.

     

    સત્યમ શિવમ સુંદરમ૧૯૮૫માં ઓર્લાન્ડો આવ્યા પણ અમને ચારેયને કેલિફોર્નિયા બહુ યાદ આવતું. ડિસેમ્બરમાં આવ્યા તેથી સંગીતા અને સમીરને અણગમતી પ્રાથમિક શાળામાં અજાણ્યા વર્ગમાં મુશ્કેલ અનુભવ પછી પ્રથમ હરોળના વિદ્યાર્થી તરીકે આગળ વધી સંગીતાએ સ્કૂલમાંથી જ Honors program of Medicineમાં પ્રવેશ મેળવ્યો અને સમીર Lawyer થયો. સંગીતના ગ્રુપ સાથે જોડાયેલા રહ્યાં પણ દિલીપને ચિત્રકામ વિશે વિચાર પણ નહીં આવ્યો હોય. અગ્યાર વર્ષ પછી Texas Instrimentમાંથી નોકરીનું આમંત્રણ મળતા ૧૯૯૬માં હ્યુસ્ટન આવ્યાં.

    દરેક રાજ્યના રહેઠાણ દરમ્યાન અવનવા અનુભવો અને અનેક મિત્રોનો લાભ મળ્યો.

    Einstein and Rabindranath Tagore. DKP
    અનામિકા           DKP
    Waiting.  DKP
    HAPPY BIRTHDAY SARYU.  DKP 1999

    Note: The photocopies do not justify the original art.
    ———–

    પ્રતિભાવઃ રસદર્શનઃ શ્રી દિલીપ પરીખની ભાવઘન ચિત્રસૃષ્ટિ.

                        નિસર્ગ આહિર, ‘ગુર્જરી ડાયજેસ્ટજુલાઈ ૨૦૨૪.

    દિલીપ પરીખની ચિત્રસૃષ્ટિમાં માનવીય આર્કુતિઓ કેન્દ્રસ્થ છે એમ કહી શકાય. એમાં પણ નારીરૂપોની અનેક આવલિયો છે. કોમલરસિક નારી પાત્રો ભાવકની આંખને આકર્ષે તેવાં છે. પૌરાણિક પાત્રો અને ભારતીય તળ જીવનનાં પાત્રોમાં સૌંદર્ય, નજાકત, સાદગી, અલંકરણની અનેક આવલિઓ પામી શકાય છે. સંગીત, નૃત્યાદિ કલાને પણ એમણે પ્રતીકાત્મક રીતે વિસ્તારી છે.

                                                                     ———–

    Saryu Parikh  સરયૂ પરીખ  www.saryu.wordpress.com