-
બાળકોનાં લાલપીળાં વસ્ત્રો આકર્ષક કે ઝેરી?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
લાલ, પીળા જેવા ચમકતાં રંગોનાં કપડાં પહેરેલાં બાળકો કેટલાં સુંદર દેખાય છે! બાળકોને પહેરવાનાં વસ્ત્રોનાં રંગ આમ પણ ચમકદાર અને આકર્ષક હોય છે. બાળકો ઝડપભેર મોટાં થઈ રહ્યાં છે અને તેમના માટે નવાં કપડાંની જરૂર પડતી હોય છે. અત્યારના ‘ફાસ્ટ ફેશન’ના યુગમાં તેમાં અનેકગણું વૈવિધ્ય જોવા મળી રહ્યું છે. પણ આવાં ચમકદાર રંગોવાળાં વસ્ત્રો બાળકના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન કરી શકે છે.
પહેલાં તો આ નુકસાન શી રીતે થાય છે એની વાત. બાળકોનાં ચમકદાર વસ્ત્રોમાં સીસાનું વધુ પડતું પ્રમાણ મળી આવ્યું, જે ૧૦૦ પી.પી.એમ. (પાર્ટ્સ પર મિલીઅન)થી પણ વધુ હતું. ખાસ કરીને લાલ અને પીળા રંગનાં વસ્ત્રોમાં સીસું વધુ હોય છે. બાળકોને પોતાનાં વસ્ત્રો મોંમાં નાખવાની આદત હોય છે. આથી સીસું તેમના શરીરમાં સહેલાઈથી પ્રવેશી શકે છે. વધુમાં આ વસ્ત્રોને ધોવાથી પણ સીસું અન્ય વસ્ત્રોમાં કે પાણીમાં પ્રસરી શકે છે, જે વધુ ખતરનાક બની શકે છે. સીસું એક ભારે ધાતુ છે અને તે સંપર્કમાં આવે તો કોઈ પણ વ્યક્તિને ભારે નુકસાન કરે છે. એમાંય બાળકના શારિરીક અને માનસિક વિકાસને, ખાસ કરીને તેમના ચેતાતંત્રને તે કાયમી નુકસાન કરે છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી આ સંશોધન કોણે અને શી રીતે કર્યું એ જાણવું પણ અગત્યનું છે. અમેરિકાની મરીઅન યુનિવર્સિટીની કેમિસ્ટ્રીની પ્રયોગશાળાની એક સંશોધન ટીમ દ્વારા આ સંશોધન હાથ ધરાયું હતું. આ ટીમનાં વડા કમીલા ડીવર્સની દીકરીના શરીરમાં સીસાનું પ્રમાણ વધુ જણાયું, જે રમકડાંની સપાટી પરથી આવેલું. આજે તો યુ.એસ.કન્ઝ્યુમર પ્રોડક્ટ સેફ્ટી કમિશન બાળકો દ્વારા ઊપયોગમાં લેવાતી વિવિધ ચીજોમાં સીસાની અધિકતમ માત્રા ૧૦૦ પી.પી.એમ. નિર્ધારીત કરવામાં આવી છે. સંશોધકોએ જોયું કે મોટા ભાગનાં માવતરો આ સમસ્યાથી અજાણ છે. આથી આ ટીમે બાળકો દ્વારા ઊપયોગમાં લેવાતી વિવિધ ચીજોમાં સીસાનું પ્રમાણ ચકાસવાનું શરૂ કર્યું. આ ચકાસણીમાં માલૂમ પડ્યું કે બાળકોનાં વસ્ત્રોમાં સીસું કેવળ ઝીપર, બટન કે પટ્ટાના બકલ વગેરેમાં તો ખરું જ, પણ સીધેસીધું કપડાંમાં જ હોય છે. ઘણાં વસ્ત્રઉત્પાદકો કપડાંનાં રંગ લાંબો સમય સુધી ચમકદાર અને ટકાઉ રહે એ માટે તેમાં લેડ એસિટેટનો ઊપયોગ કરે છે. આ પદ્ધતિ સસ્તી પડે છે અને રંગની ચમક બરકરાર રાખવામાં મદદરૂપ બની રહે છે.
ટીમે અગિયાર રંગીન શર્ટ તપાસ્યાં. આ શર્ટને અલગ અલગ રીટેલર પાસેથી ખરીદવામાં આવેલાં, જેમાં ફાસ્ટ ફેશનની તેમજ ડિસ્કાઉન્ટવાળી બ્રાન્ડનો સમાવેશ થતો હતો. એટલે કે કોઈ એક સ્થળેથી કોઈ એક જ બ્રાન્ડને બદલે વિવિધ સ્થળેથી વિવિધ પ્રકારનાં શર્ટ હોય એનું ધ્યાન રખાયેલું. આ તમામ શર્ટમાં, વિના અપવાદે સીસાનું પ્રમાણ ૧૦૦ પી.પી.એમ.થી વધુ મળી આવ્યું. એમાંય સૌથી વધુ સીસું લાલ અને પીળા રંગનાં શર્ટમાં જોવા મળ્યું. આનો સીધો અર્થ એ થયો કે ચમકદાર રંગવાળાં વસ્ત્રો બાળકો માટે વધુ જોખમી બની શકે છે.
આ સંશોધકોએ પોતાના સંશોધનના બીજા તબક્કામાં એ ચકાસ્યું કે બાળકો આ વસ્ત્રોને મોંમાં નાખે કે ચાવે તો કેટલું સીસું તેમના શરીરમાં પ્રવેશી શકે. નિષ્કર્ષ એવો નીકળ્યો કે આ પ્રમાણ ‘એફ.ડી.એ.’ (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) દ્વારા નિર્ધારીત કરાયેલી સલામત મર્યાદા કરતાં અનેકગણું વધારે છે.
હવે આપણા ભારત દેશની વાત કરીએ તો ‘બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ’ (બી.આઈ.એસ.) દ્વારા સીસાની મહત્તમ મર્યાદા ૯૦ પી.પી.એમ.ની નિર્ધારીત કરવામાં આવી છે. એટલે કે અમેરિકામાં જે મહત્તમ મર્યાદા છે એનાથી પણ ઓછી. આ મર્યાદાના અમલ બાબતે શી સ્થિતિ છે?
વિવિધ અભ્યાસોમાં જણાયું છે કે ભારતમાં કોઈ પણ વયની વ્યક્તિ સીસાના સંપર્કમાં આવે એ શક્યતા વધુ છે. સ્વાભાવિકપણે જ બાળકો આમાંથી બાકાત ન હોય, અને સીસાની અસર તેમના પર વધુ ઝડપથી થાય. હજી સુધી વિવિધ રમકડાં, આયુર્વેદિક પાઉડર, વાસણો, સૌંદર્ય પ્રસાધનો વગેરેમાં સીસાનું વધુ પ્રમાણ હોવાના અભ્યાસ થતા રહ્યા છે અને તેનું પ્રમાણ વધુ પડતું હોવાનું જણાયું છે.
વિશ્વભરમાં કુલ ૮૦ કરોડ બાળકોના શરીરમાં સીસાનું ઊંચું પ્રમાણ હોવાનું જણાયું છે, એ પૈકી ૨૭.૫ કરોડ બાળકો ભારતમાં છે. એટલે કે ભારતનાં બાળકો પૈકી અડધાંઅડધમાં સીસાનું ઊંચું પ્રમાણ છે. ભારતના કુલ ૩૦ રાજ્યોના લોકોમાં સીસાનું હાનિકારક પ્રમાણ જોવા મળ્યું છે.
મુદ્દાની વાત એ છે કે આવા અભ્યાસ થાય એ આવકાર્ય છે. આવા અભ્યાસનાં પરિણામો કદાચ નીતિ ઘડવામાં ઊપયોગી થતાં હશે એમ માની શકાય. પણ વાત છેવટે અમલીકરણ પર આવીને અટકે છે. કેવળ નીતિ કે કાનૂન ઘડીને અથવા કાનૂનભંગ બદલ આકરી જોગવાઈ ઊભી કરીને ઈતિશ્રી માની લેવું પૂરતું નથી. કેમ કે, સીસાથી થયેલું નુકસાન કોઈ કસૂરવારને સજા કરવાથી કે દંડની રકમ ભરાવવાથી ઓછું થવાનું નથી. તેના અંગેની જાગૃતિ વધુ જરૂરી છે. આ જાગૃતિ ઉત્પાદકના તેમજ ઉપભોક્તા એમ બન્નેના પક્ષે જરૂરી છે. ઉત્પાદકને સીસું નુકસાનકારક છે એની ખબર હોય એ પૂરેપૂરી શક્યતા છે. આ સંજોગોમાં તેના ભાગે વધુ જવાબદારી આવે છે, જે નીતિ અને કાનૂનપાલનથી અમલી બનાવી શકાય. અમલીકરણનું તંત્ર પણ વધુ પ્રામાણિક, અસરકારક અને નીતિવાન હોવું ઘટે. ઉપભોક્તાને ભાગે ખાસ વિકલ્પ હોતા નથી, પણ એ થોડી જાગરૂકતા દાખવે એ અપેક્ષિત છે. બાકી તો આ બાબત એટલી ગંભીર અને જોખમી છે કે એ શી રીતે નિયંત્રીત કરી શકાશે અને હજી વધુ નુકસાન થતું શી રીતે રોકી શકાશે એ વિચાર જ કરવો વ્યર્થ લાગે છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧-૫– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
ગંગાસતીનું લોકોપનિષદ
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
ભારતનાં પ્રાચીન આધ્યાત્મિક સાહિત્યમાં ઉપનિષદોનું આગવું સ્થાન છે. આદિ શંકરાચાર્યે લખેલાં પ્રસ્થાન ત્રયી પરનાં ભાષ્યોમાં ઉપનિષદો મુખ્ય છે. મુગલ બાદશાહ શાહજહાના પુત્ર દારા શિકોહ પર ઉપનિષદોનો એટલો બધો પ્રભાવ પડેલો કે તેમણે કેટલાક ઉપનિષદોનું સંસ્કૃતમાંથી ફારસીમાં ભાષાંતર પણ કરેલું. વિદેશમાં હિંદુ ધર્મનો ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદે પોતાનાં પ્રવચનોમાં મુખ્યત્વે ઉપનિષદોનો આધાર લીધો હતો. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પણ ઉપનિષદોથી પ્રભાવિત હતા. ઓશો રજનીશે ઉપનિષદો પર આપેલાં પ્રવચનો દળદાર પુસ્તક રૂપે પ્રકાશિત થયાં છે. કેટલાક રેશનાલિસ્ટોને પણ ઉપનિષદોથી અંજાયેલા જાણ્યા છે.
જર્મન ફિલોસોફર મેક્સમૂલરે લખ્યું છે, “જો ફિલસૂફીનો હેતુ સુખી મૃત્યુની તૈયારી કરવાનો હોય, તો મને ઉપનિષદોની ફિલસૂફી કરતાં વધુ સારી કોઈ તૈયારીની ખબર નથી.”
ભારતના ભૂ. પૂ. રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષણ જેમની ગણના દાર્શનિકમાં થતી, તેમનો મત હતો કે ઉપનિષદો માનવ ભાવનાના ઇતિહાસમાં એક મહાન પ્રકરણનું પ્રતિનિધિત્વ કરે છે અને ત્રણ હજાર વર્ષથી ભારતીય દર્શન, ધર્મ અને જીવન પર પ્રભુત્વ ધરાવે છે. ત્યારબાદની દરેક ચળવળે તેમનાં દાર્શનિક નિવેદનો સાથે સુસંગત હોવાનું દર્શાવવું પડ્યું છે.
ઉપનિષદો પર આટલાં બધાં પ્રશંસાના પુષ્પો વેરાયાં છતાં મારા જેવા સામાન્ય માણસને ઉપનિષદોનું જ્ઞાન સમજી શકાય નહિ તેવું ગહન જ જણાયું છે. ઉપનિષદો પરનાં જુદા જુદા લખાણો ઉપનિષદોના કેન્દ્રવર્તી વિચાર પર પહોંચાડવાને બદલે પ્રશંસાના પરિઘ પર ફર્યા કરતા હોય તેમ વિશેષ જણાયાં છે. આ મર્યાદા ઉપનિષદો કે તેના પરના ભાષ્યોની નહિ પરંતુ મારા જેવા સામાન્ય માણસની છે. જીવનનું કે મૃત્યુનું રહસ્ય ઉપનિષદો પાસે જે કાંઇ હોય, પરંતુ સામાન્ય માણસને આધ્યાત્મિક માર્ગના પ્રવાસીઓ જેને આત્મજ્ઞાન કહે છે તે પામ્યા પછીનાં જીવનનું સ્વરૂપ તો કેટલાક દેહણ (દેશી) સંતો કે ગંગાસતી જેવા ભજનિકો પાસેથી જ જાણવા મળે છે.
ગંગાસતીએ પોતાનાં ભજનો તેમનાં પુત્રવધુ -જે તેમના શિષ્યા પણ ગણાયાં છે - પાનબાઇને સંબોધીને કહ્યાં છે. એમ કહેવાય છે કે તેમણે દરરોજ એક ભજન પાનબાઈને સંભળાવીને કુલ 52 ભજનો રચ્યાં છે. તેમાનાં એક વિશેષ ગમતાં જે ભજનનો મારે ગુલાલ કરવો છે તેના શબ્દો આ પ્રમાણે છે,
‘અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહિ
ને ન રહેવું ભેદવાદીની સાથ રેકાયમ રહેવું એકાંતમાં
ને માથે સદગુરુનો હાથ રેતીરથ વ્રત પછી કરવા નહીં
ને ન કરવા સદગુરુના કરમ રેએવી રે ખટપટ છોડી દેવી
જ્યારે જણાય માંહ્યલાનો મરમ રેહરિમય જ્યારે આ જગતને જાણ્યું
ત્યારે પ્રપંચથી રહેવું દૂર રેમોહ સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રેમંડપ ને મેળા પછી કરવા નહીં
એ છે અધુરિયાના કામ રેગંગાસતી એમ બોલિયા પાનબાઈ
ભાળવા હોય પરિપૂર્ણ રામ રે….અભ્યાસ જાગ્યા પછી..’અહીં અભ્યાસ જાગવો એટલે આત્મજ્ઞાન થવું એવો અર્થ નીકળે છે. આટલી ઉચ્ચ ભૂમિકાની વાત ના કરીએ તો એક સાચી સમજ ઉભી થવી એમ પણ કહી શકાય. સંગીતની આરાધના કરતા એક તબક્કો એવો આવે છે કે કલાકારને સૂર જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ જ રીતે વ્યક્તિને પોતાની આધ્યાત્મિક વિચારયાત્રામાં એક એવા મર્મની જાણ થાય છે કે પછી તે તમામ બાહ્યાચારો અને કર્મકાંડોથી મુક્ત થઈ જાય છે.
દેખીતી રીતે ગંગાસતીએ જેને આત્મજ્ઞાન લાધ્યું હોય તેને બાહ્યાચારોથી મુક્ત થવા માટે ઉપદેશ આપ્યો હોય તેમ જણાશે. પરંતુ તેમને અભિપ્રેત તો એ છે કે જેને પણ આત્મજ્ઞાન કે મૂળ તત્વ જડી ગયું હોય તે આપોઆપ બાહ્યાચારોથી મુક્ત થઈ જાય છે. તેથી જ ‘અભ્યાસ જાગ્યા પછી ભમવું નહિ” એ પંક્તિમાં નરસિંહ મહેતા કથિત ‘જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી‘ પ્રતિબિંબિત થાય છે. જેનામાં પણ આ પ્રકારે સમજ ઊભી થાય તેણે પછી શાસ્ત્રોના થોથા ઉથલાવવાની કે ઇશ્વરની શોધમાં ઠેરઠેર ભટકવાની જરૂર નથી.
ગંગાસતીએ ભેદવાદીઓથી દૂર રહેવાનું કહ્યું છે. ભેદવાદીઓ એ બીજા કોઇ નહિ પરંતુ નોખી નોખી વાતો કરતા અને નાતજાત કે વર્ણના ભેદ ઊભા કરતા પરંપરાવાદીઓ, પંડિતો અને શાસ્ત્રકર્તાઓ છે. આત્મજ્ઞાનીઓ તો કશામાં ભેદ જોતા જ નથી. અહીં યાદ કરીએ
विद्याविनयसम्पन्ने ब्राह्मणे गवि हस्तिनि ।
शुनि चैव श्वपाके च पण्डिता: समदर्शिन: ॥ગીતા અધ્યાય 5 શ્લોક 18
આ પ્રમાણે તો સાચો જ્ઞાની કહેવાતી ઊંચી કે નીચી જ્ઞાતિઓમાં ભેદ તો કરતો નથી ઉપરાંત ગાય , હાથી કે કૂતરાને પણ મનુષ્યની સમાન ગણે છે.
ગીતામાં દર્શાવેલાં યોગીઓના લક્ષણોમાંનું એક લક્ષણ ‘જનસમૂહમાં અપ્રીતિ’ છે. અહીં ગંગાસતી પણ ‘એકાંત’માં જ રહેવાની વાત કરે છે.
ઈશાવાસ્ય ઉપનિષદના પહેલા શ્લોક “ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्।“ ને ગંગાસતી સરળ ભાષામાં “સમગ્ર જગતને હરિમય જાણવાનું” કહે છે.
સૌથી મહત્વની વાત તો તેમણે એ કરી છે કે,
“મંડપ ને મેળા પછી કરવા નહીં
એ છે અધુરિયાના કામ રે”આજે ચોતરફ ધાર્મિક ઉત્સવો, સમૈયાઓ, હોમહવનો, ધાર્મિક વરઘોડાઓ(શોભાયાત્રાઓ) પ્રાણપ્રતિષ્ઠાઓ, ડી જેના ઘોંઘાટો સાથેના સામુહિક સુંદરકાંડો અને હનુમાન ચાલીસાઓએ ઉત્પાત મચાવ્યો છે. શોભયાત્રાઓ તો કોમી તણાવનું નિમિત્ત( ઉદેશ્ય પણ હોઈ શકે )બનતી હોય છે. ગંગાસતી કહે છે કે જ્ઞાની જનો તો ઉપર કહ્યા મુજબની ભીડનું ન તો આયોજન કરે છે કે ન તેમાં ભાગીદાર બને છે. મંડપ ને મેળા કરનારાઓને તો ધર્મના મૂળ તત્વની સમજ જ નથી હોતી. આથી જ ગંગાસતીએ તેમને “અધુરિયા” કહ્યા છે.
આપણે ત્યાં તીર્થયાત્રાને નામે પ્રવાસોનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે ને સતત વધતું જાય છે. યાત્રાસ્થળે પ્રવાસીઓ ગંદકી અને પ્રદૂષણ જ ફેલાવે છે. એ જ રીતે જેનો ન તો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ન પરંપરામાં છે તેવાં વૈભવ લક્ષ્મી, દશામા જેવા નીત નવા વ્રતો નીકળતા જ જાય છે. પરંતુ જેને ભીતરનો મર્મ જણાય અને આત્મજ્ઞાન થાય તેણે ન તો તીર્થ યાત્રાએ જવાની જરૂર છે કે ન કોઇ વ્રતઉપવાસ કરવાની જરૂર છે.
નરસિંહ મહેતાએ તેમનાં પ્રખ્યાત ભજન “વૈષ્ણવજન” માં જે લક્ષણો વર્ણવ્યાં છે. એ માત્ર વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી પૂરતા સીમિતની વાત નથી. કોઈ પણ સજ્જન કે નીતિવાન નાગરિક એ નરસૈયાનો વૈષ્ણવજન છે. એ જ રીતે ગંગાસતીનો ઉપદેશ માત્ર ઇશ્વરના આરાધક કે આધ્યાત્મિક પંથના સાધકને માટે જ નથી પરંતુ કોઇ પણ વ્યક્તિ જે ચાલુ પ્રવાહમાં તણાયા વિના પોતાની જાત સાથે જોડાઇને રહે છે તેની ઓળખ સમાન છે.
ગુરુ વિશે ગંગાસતીએ બહુ મહત્વની વાત કરી છે. અખા ભગતે “ગુરુ થઈ બેઠો હોંશે કરી, કંઠે પાણ (પાણો, પથ્થર ) શકે કેમ તરી?” કહીને ગુરુપ્રથા પર હથોડો લઈને પ્રહાર કર્યો છે. પરંતુ ગંગાસતીએ આ જ વાત હળવાશથી મૂકતા કહી દીધું,
“ન કરવા સદગુરુના કરમ રે
એવી રે ખટપટ છોડી દેવી”આખા ભજનનો સાર એ છે કે જીવનનો હેતુ જો ઇશ્વર રૂપી સત્ય કે સત્ય રૂપી ઇશ્વર શોધવાનો હોય તો ગંગાસતીનું આ ભજન સાધકને બાહ્ય જગતથી મુક્ત થઈને અંતરાત્મામાં જ પરમાત્માને શોધવાની પ્રેરણા આપે છે. એથી જ તેને લોકોપનિષદ કહેવામાં અતિશયોક્તિ નથી.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
વિજ્ઞાન અને અધ્યાત્મનુ અદ્ભૂત રસાયણ : મેરી ક્યૂરી [૧]
દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
“સઘળી વિખ્યાત વ્યક્તિઓમાં કીર્તિએ જેમને કલુષિત ન કરી હોય એવી વ્યક્તિ મેરી ક્યૂરી એક જ છે.’ આ સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇને તેમના જેવાં જ સમર્થ મહિલા વૈજ્ઞાનિક શ્રીમતી માદામ ક્યૂરી માટે આપેલાં આ મંતવ્યમાં મેરીના વ્યક્તિત્વનું યથાર્થ અર્થઘટન પડેલું છે.
માદામ ક્યૂરીની સાધનાનાં મૂળ તેમણે ભોગવેલા તીવ્ર સંઘર્ષોમાં પડેલાં છે. આ સંઘર્ષ રાજકીય-સામાજિક-ધાર્મિક તેમ જ વ્યક્તિગત – એવા બધા પ્રકારે ખેડાયેલો છે. સંઘર્ષને લઈને જ મેરી જીવનને તટસ્થતાથી પામવામાં સફળ થઈ શક્યાં છે. કીર્તિ પ્રત્યેની તેમની વિરક્તિ પણ કદાચ આવા સંઘર્ષો તરફથી તેમને મળેલી મહાન ભેટ છે.ઈ.સ. ૧૮૬૭થી ઈ.સ. ૧૯૩૪ સુધીની ૬૭ વર્ષની જીવનયાત્રામાં મેરીએ પોતાને મળેલા જીવનને બરોબર ઓળખ્યું છે, તેનો ઉપયોગ કર્યો છે ને તેની કદર પણ કરી છે. ‘કામ કેટલું કરવાનું છે ને દિવસો કેટલા ઓછા છે’ એવું સતત વિચારતાં મેરી માટે ૬૭ વર્ષનું આયુષ્ય ઘણું ટૂંકું પડયું છે. તેમના જીવનને ઉપર ઉપરથી જોતાં તેમણે પુષ્કળ કામ કર્યું હોવાનું દેખાય, પણ મેરી માટે તો કાળપુરુષનું એ પગલું તેના અંગૂઠાની છાપ જ હોય એવું દેખાય છે.
પોલેન્ડનાં વતની માદામ ક્યૂરી, પૂર્વાશ્રમમાં માન્યા સ્કૉલોદોસ્કી છે. દેશની ભૌગોલિક પરિસ્થિતિ એ મેરીને મળેલો પ્રથમ સંઘર્ષ છે. રશિયા, ઓસ્ટ્રીઆ અને જર્મની જેવા ત્રણ ત્રણ મોટા દેશોનું દબાણ પોલેન્ડે ભોગવવાનું હતું. તેમાંય યહૂદી જાતિમા જન્મવું એ તો જ્યાં મોટો દોષ ગણાય છે; પૉલિશ સંસ્કૃતિનું જ્યાં કોઈ મૂલ્ય નથી હોતું; હોઠ ભીડીને શાળામાં, સમાજમાં પરદેશી શાસનના મહિમાનું ગાણું ફરજિયાતપણે ગાવું પડે છે એવા માહોલની વચ્ચે ગૌરવશીલ બાલિકા માન્યા ગૂંગળાઈ ઊઠે છે. શાળામાં આવતા ખાનગી ઘરશાળાઓના ઇન્સ્પેક્ટરની સામે આ પોલિશ બાળાને પોતાના જ ધર્મની પ્રાર્થના રશિયન ભાષામાં કરવી પડે છે ને એ કારણે જેની આંખો અશ્રુથી ભરાઈ જાય છે એવી માન્યામાં પાછળથી જે પૌરૂષત્વ પ્રગટ્યું છે એ સમજાય એવું છે. પોતાની અસ્મિતા કેમ ટકાવવી, પરદેશી શાસનનો અસ્વીકાર કરીને દેશનું ગૌરવ કેમ વધારવું એવા વિચારો નાનપણથી જ મૈરીના ચિત્તમાં જન્મ્યા છે.
માતા-પિતા ને મોટાં ભાઈ-બહેનોની હૂંફમાં બાળા માન્યાને જીવન ભરપૂર જણાયું છે. નાની પુત્રી હોવાને નાતે, માતાએ પણ તેને ખૂબ પ્રેમ આપ્યો છે. પણ, માતાનું વાત્સલ્ય મેરી માટે ઝાઝું ટક્યું નથી. ક્ષયની દર્દી માતાએ ઝડપથી મેરીના જીવનમાંથી વિદાય લીધી છે. એક સાથે માતા ને મોટી બહેનનાં મૃત્યુને જોઈને મેરીનું જીવન વ્યક્તિ માટે, જાતિ માટે કૂર ભાસ્યું. પરિણામે નાનપણથી જ તેઓ ઘર્મ પ્રત્યે નિરપેક્ષ બની ગયાં. જે દેવળમાં તેઓ જતાં ત્યાં હવે પ્રાર્થના કરતી વખતે છૂપો બળવો જાગતો. અન્યાયભર્યા આઘાતો આપીને જેણે પોતાનું જે કંઈ મધુર ને ઉમદા હતું તેનો વિનાશ કર્યો તે ઈશ્વરની ઉપાસના હવે પ્રેમથી કરવી શક્ય નહોતી. આ પ્રકારની વિચારધારાએ કરીને નાનકડી માન્યા, ઉંમર કરતાં ઘણી વહેલી પ્રૌઢ બની. ઊગતી કિશોરીના મનની આ અવઢવોએ વિકૃત કે નકારાત્મક રૂપ ધારણ ન કર્યું તેની પાછળ મેરીના પિતાનું સંતાનો પ્રત્યેનું અપાર વહાલ ને ભાઈ-બહેનો વચ્ચેની, માતાની ગેરહાજરીમાં વધેલી સંવાદિતા હતી. ગૃહજીવનનાં આ મધુર વાતાવરણને લઈને મેરીમાં પડેલી કોમળતા ઉત્તરોત્તર સમૃદ્ધ બની.
પિતા આર્થિક રીતે સધ્ધર ન હોવાથી બધાં ભાઈ-બહેનો ભણી શકે તેમ નહોતાં. આથી માધ્યમિક શિક્ષણ પૂરું કરીને, મોટાં ભાઈ-બહેનોને ભણાવવાનો મેરીએ સંકલ્પ કર્યો ને બાળકોને ભણાવવાની નોકરી સ્વીકારી. ઇન્ટરવ્યૂ દેવા ગયેલી મેરીનાં પ્રમાણપત્રો જોઈને ચકિત થયેલાં મહિલા અધિકારીએ મેરીની ઉંમર પૂછતાં શરમાયેલી મેરીએ અચકાતાં અચકાતાં “સત્તર” એવું જણાવીને ઝડપથી ઉમેર્યું, ‘ હું તરતમાં અઢારની થઈ જઈશ.’ બહેનને દાક્તર બનાવવાનું સ્વપ્ન સેવતી મેરીની આ ધગશ જ તેને ભવિષ્યની મહાન વૈજ્ઞાનિક બનાવવાના માર્ગ તરફ ઝડપથી મૂક્યે જતી હતી.
તરુણાવસ્થાના ઉંબરે ઊભેલી મેરીને સ્વપ્નો જોવાનો, પ્રેમ કરવાનો, ફરવાનો સમય કે સવાલ જ નહોતો. તે સાત કલાક નોકરી કરતી ને રાત્રે મળતા સમયમાં ભૌતિકશાસ્ત્ર ને ગણિતનો અભ્યાસ કરતી. આજુબાજુની દુનિયા તેને માટે જાણે થંભી ગઈ હતી. અલબત્ત, એનો અર્થ એવો નહોતો કે મેરીમાં માનવસહજ ભાવો જાગ્યા નહોતા. જે બાળકોને તે ભણાવતી ત્યાંના માલિકના મોટા પુત્ર સાથે તેને પ્રેમ થયો. એ છોકરાએ પણ મેરીને પસંદ કરી. પરંતુ, છોકરાના માં-બાપ માટે આ ઘટના એકદમ ઉપેક્ષષણીય હતી કેમ કે મેરી તેમને ઘેર કામ કરતી હતી ! છોકરો પણ માતા-પિતાના નકાર સામે ઝૂકી ગયો. સ્વમાની મેરી માટે આ ઘટના ભારે ગૌરવભંગની હોવા છતાં આર્થિક વિવશતાને લઈને મેરી નોકરી પણ છોડી શક તેમ નહોતી. પહેલાં પરદેશી શાસકોથી, પછી માતાને આંચકી લેનાર ઈશ્વરથી ને પછી પ્રેમીથી તરછોડાયેલી મેરી, જીવન પ્રત્યે હતી એના કરતા ય જ તટસ્થ થઈ ગઈ ને પુરુષો પ્રત્યે સાશંક. પોતાને થયેલા પ્રેમભંગના અનુભવને ભૂલવા મેરીએ કારમી જહેમત ઉઠાવવી પડી. તેમનાં પુત્રી ઈવ ક્યૂરી નોંધે છે તેમ આ વાત એટલી સહેલી નહોતી કેમ કે સ્નેહ અને મહત્વાકાંક્ષા બન્ને સરખાં છે : દેહાંતદંડની સજા પામ્યા છતાં તે મૃત્યુ પામતાં નથી. આ બનાવ પછી ભગ્ન થયેલી મેરીએ પોતાની બહેનને કહ્યું : ‘ભવિષ્યની મારી કોઈ યોજના નથી. છે તો પણ એટલી સાધારણ કે એની ચર્ચા કરવી વ્યર્થ છે. હું જેટલી સારી રીતે મારી જાતને ચલાવી શકીશ એટલી ચલાવીશ; નહિ સાચવી શકું ત્યારે આ સંસારથી વિદાય લઈ લઈશ.’ મેરીમાં જાગેલી નિરાશા સ્વાભાવિક હતી પણ તેને ખબર નહોતી કે ઊજળું ભવિષ્ય અને રોગગ્રસ્ત માનવજાત તેની રાહ જોઈ રહ્યાં હતાં.
મેરીના પ્રયત્નોથી આગળ વધેલી મોટી બહેન પેરિસમાં જ સ્થાયી થતાં તેણે મેરીને પણ પેરિસમાં અભ્યાસ કરવાનું આમંત્રણ આપ્યું. પોતાનો દેશ. વૃદ્ધ થતા જતા પિતા. ઘર-એ બધું છોડીને પેરિસ જવાનું મેરી તરત તો ન સ્વીકારી શકી. પરંતુ, બેનના આગ્રહને વશ થઈને છેવટે તેણે વૉરસો છોડ્યું.

માન્યા સ્કૉલોદોસ્કી અને તેમનાં બહેન બ્રૉનિસ્લાવા સ્કૉલોદોસ્કી અભ્યાસનિષ્ઠા તો મેરીના લોહીમાં હતી. પેરીસ પહોચીને એ એવી તે કામમાં ડૂબી ગઈ કે જાણે કેફમાં હોય ! પૂર્ણ જીવનની એણે બાંધેલી ઘારણા કોઈ સાધુ કે ધૂની માણસને શોભે એવી હતી. ધીમે ધીમે એણે એકાંતવાસ અનુભવવા માંડ્યો . જે માણસો એને ક્યારેક સામા મળતા એ એને ભીંત જેવા લાગતા. વાર્તાલાપ એના એકાંતમાં ભાગ્યે જ ભંગ પાડતો. રાબ બનાવવાનું રહસ્ય જાણવા કરતા ભૌતિકશાસ્ત્રનાં થોડાંક પાનાં વાંચવામાં મેરીને વધુ રસ ઠતો. અભ્યાસનિષ્ઠાને લઈને ગૃહજીવનથી, જીવનના આરંભે મળેલા વિષાદમય અનુભવોને કારણે ધર્મ અને સંપ્રઘયથી અને વિજ્ઞાનપ્રેમને લઈને લોકેષણાથી મેરી હંમેશાં દૂર રહી. આ દૂરીમાં કોઈ ઉપેશાભાવ નહોતો પણ ગંતવ્ય સ્થાનને પહોંચી વળવાની તાલાવેલી માત્ર હતી. નારી તરીકે જો મેરી અત્યંત સંવેદનશીલ હતી તો વ્યક્તિ તરીકે મક્કમ : લીધેલા નિર્ણયને મજબૂત રીતે પકડી રાખનારી, ઇપ્સિત વસ્તુને પ્રાપ્ત કરવા માટે ગમે તેવા મંથનને સહીને પણ તેને મેળવીને જંપનારી પુરુષાર્થી તરીકે તેનું વ્યક્તિત્વ ધીમે ધીમે ખૂલતું ગયું. પાછળથી મહાન વૈજ્ઞાનિક તરીકે તેને જે ખ્યાતિ મળી એ દિવસો કરતાં મેરીએ ગાળેલા વિદ્યાથીજીવનના દિવસો તેને વધુ પ્રાણવાન, વિત્તવાન લાગેલા. આ દિવસોમાં પોતે અગાઉ ઘયેલા મહાન વૈજ્ઞાનિકોની સાથીદાર હોય એવો ભાવ તેને જાગતો. .
તરૂણાવસ્થામાં થયેલા પેમભંગના અનુભવમાં કઠોર વિદ્યાર્થીજીવન ભળતાં,મેરીનાં પ્રથમ છવ્વીસ વર્ષમાં એક પ્રકારની સખ્તાઈ આવી. મેરીએ સ્વીકારેલું શુષ્ક જીવન આ સખ્તાઈને પોષે તેવું હતું. ઈ.સ. ૧૮૯૪માં મહાન ફ્રેંચ વૈજ્ઞાનિક પિયરૅ ક્યૂરી સાયે થયેલી પથમ મુલાકાતે આ સખ્તાઈમાં પહેલવહેલું છિદ્ર પાડ્યું. સ્વભાવે અત્યંત સંવેદનશીલ ને ભદ્ર એવા શ્રી ક્યૂરીના ગાંભીર્ય અને યૌવને મેરીમાં વિશ્વાસ પ્રેર્યો. અલબત્ત, મેરી આ ગાંભીર્યથી માત્ર પ્રભાવિત જ થઈ, આકર્ષાઈ તો નહી જ. અનેક વાર શ્રી ક્યૂરીએ પોતાનો મેરી પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કર્યો ત્યારે પણ મેરીએ તેમનો એક મિત્ર તરીકે જ સ્વીકાર કર્યો. લગભગ બે વર્ષ પછી ક્યૂરીનો પ્રેમ સફળ થઈ શક્યો. પિયરૅનો સ્વીકાર કરતાં મેરીને વાર લાગી એનાં કારણોમાં એક બાજુ એના કેટલાક સિદ્ધાંતો હતા જે અમુકાંશે સાચા હતા; તો બીજી બાજુ વિદેશી વ્યક્તિ પરનો ધૂંધળો અવિશ્વાસ પણ કદાચ હતો. પિયરૅ આ વાત સમજી શકતા હતા. પણ મેરીની મેધાએ તેમને આકર્ષ્યા. સિદ્ધાંતોનું મૂલ્ય જાણતા શ્રી ક્યૂરીએ સિદ્ધાંતોની અર્થશૂન્યયતા પણ અનુભવી હતી. આથી જ, વિજ્ઞાનને ચાહતા આ મહાન માણસે સામાન્ય પ્રકારના લગ્નનો ઇન્કાર કર્યો હતો. પરંતુ મેરીમાં જોયેલી ચારિત્ર્યનિષ્ઠા ને વિભૂતિમતતવે, તેના માટે મેરીને અનિવાર્ય બનાવી. પિયરૅના સથવારે આ સાધ્વી, મનુષ્ય હોવાના ફાયદાને જોતાં પણ શીખી. પૉલિશ અસ્તિત્વને ત્યજીને તેણે ફેન્ચ બનવાનું હતું જે તેને આકરું ને અકારું પણ લાગેલું. પણ પ્રેમીના પ્રેમ પાછળ આટલું આત્મબલિદાન જરૂરી હતું. આ બંને વૈજ્ઞાનિકોના લગ્નોત્સવમાં ન તો લગ્નમાં અનિવાર્ય એવો શ્વેત પોશાક હતો, સુવર્ણમુદ્રા નહોતી, લગ્નજમણ નહોતું, ધાર્મિક ક્રિઆ નહોતી. હતી માત્ર ભેટ મળેલી બે ચકચકિત સાઇકલો, જેના પર બેસીને આ દંપતી પોતાની મધુરજની માણવાનું હતું !
પિયરેના પ્રવેશથી મેરીના શુષ્ક જીવનમાં ઉષ્મા પ્રગટી, અત્યાર સુધી પુરુષ વૃત્તિથી જીવનની ઘટમાળને જકડીને ફરતી મેરીએ લગ્ન પછી પતિ પ્રત્યે, પતિનાં માતા-પિતા પ્રત્યે ને પછીથી બાળકો પ્રત્યે એક કોમળ નારીને છાજતો વ્યવહાર કર્યો. વિજ્ઞાનના પ્રયોગોથી બરડ બનેલા મેરીના હાથ પુત્રી ઇરીનને પંપાળતી વખતે એક વત્સલ માતાના બની જતાં. ધ્યેય તરફ સતત આગળ ધપ્યે જતી મેરીએ પતિને પોતાના પ્રેમથી એવો તો સંતૃપ્ત કરી દીધો કે પિયરૅને પોતાની પસંદગી હેમેશાં સાર્થક લાગી. લગ્નજીવનની પ્રસન્નતા વૈજ્ઞાનિક મેરીનાં સંશોધનો પર પણ ઊંડી પડી. પિયરૅ એક મહાન વૈજ્ઞાનિક હોવાને નાતે મેરીએ પતિને ગુરુ માનીને વિજ્ઞાનનાં અણઉકલ્યાં રહસ્યોનો પતિની સંનિધિમાં સાક્ષાત્કાર કર્યો, બંનેનું સહજીવન ઉત્તરોત્તર ઉર્ધ્વીકરણ પામતું રહ્યુ જેમાં બંનેનો સરખો હિસ્સો હતો.
પહેલી પ્રસૂતિમાંથી ઊભી થયેલી મેરીએ વિજ્ઞાનના વિષયનું સંશોધન કરવા માટેના વિષયની શોધ ચલાવી. આ ગાળામાં ફ્રેન્ચ વૈજ્ઞાનિક હેન્રી બૅકરેલે યુરેનિયમ નામક ધાતુની વિશિષ્ટ તપાસ કરેલી. તપાસને અંતે આ ધાતુમાંથી નીકળતાં કિરણો વિશે તેમણે નોંધ કરેલી. પાછળથી મેરી જેમને ‘રેડિયો એક્ટિવ’ તરીકે ઓળખાવવાની હતી તેનો આ પ્રારંભ હતો. આ તત્ત્વની શોધ પાછળ ક્યૂરી દંપતીનાં વર્ષો ગયાં. પણ હંમેશની ધૂની ને મંડયા રહેવાનો મંત્ર જાણતી મેરી તો એની પાછળ જાણે ઓગળી જ ગઈ ! એક વાર તેણે નોંધેલું : આપણું જીવન સરળ નથી. પરંતુ તેથી શું ? આપણે મંડ્યા રહેવું જોઈએ અને વિશેષ તો આત્મશ્રદ્ધા કેળવવી જોઈએ. આપણને કોઈક નૈસર્ગિક બક્ષિસ મળી છે, એમ આપણે માનવું જોઈએ અને કોઈ પણ ભોગે આ વસ્તુ સિદ્ધ કરવી જોઈએ.’
મંડી પડવાની આ ધગશ પાસે રેડિયમને છતાં થવું પડયું. પીચ બ્લેન્ડ નામના ખનિજ તત્ત્વમાં છેવટે મેરીને રેડિયમ દેખાયું. આ નવા તત્ત્વમાં બે રાસાયણિક ટુકડાઓ જોડાયેલા હતા. એમાંથી એકને શું નામ આપવું તેની મૂંઝવણમાં પડેલી મેરીના મનમાં અચાનક સુષુપ્ત પડેલી દેશભક્તિ પ્રગટી ઊઠી ! જગતના નકશામાં એના દેશનું નામ ભૂંસી નાખવામાં આવ્યું હતું. આથી આ તત્ત્વને તેણે નામ આપ્યું ‘પોલોનિયમ !’ રશિયા, જર્મની ને ઓસ્ટ્રીઆએ દબાવી દીધેલા પૉલેન્ડને આ દેશપ્રેમી મઢિલાએ બહાર લાવીને પૉલેન્ડનું નામ રોશન કરવાનાં મૂક રહીને સેવેલા સ્વપ્નને અદભુત રીતે સાકાર કર્યું.
ક્રમશઃ
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સ્મૃતિસંપદા : ડૉ.ઈન્દુ રમેશ શાહ ની વિટંબણા અને પરિતૃપ્તિ [૪]
ગતાંકમાં અમેરિકા આવ્યા પછી સ્થિર થવામા વાવસાયિક જીવનના અનુભવો વિશેની ડૉ. ઈન્દુબેન શાહની વિટંબણાઓ અને પરિતૃપ્તિની સફર બાબતે જાણ્યું.હવે આગળ….હવે મારી વાત ઓગણીસો ત્રાણુની સાલમાં એક વર્ષ ગાયનેક ફેલોશીપનું પુરું થયું. જોગાનુજોગ નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલના એક મેક્ષિકન એનેસ્થેસ્યોલોજીસ્ટના વર્ક વિસા પુરા થયા અને મને તેની જ્ગ્યા મળી ગઈ. અમે બન્ને એક જ હોસ્પિટલમાં કામે લાગી ગયા. અમારા બન્નેના કોલ જુદા જુદા દિવસે હોવાથી બે ગાડીની જરૂર, મારા માટે ટૉયોટા કરોલા ગાડી લીધી. અમારી વાર્ષિક આવક ૬ આંકડાની થઈ. મીસોરીસીટી (Missouri City,TX)માં ૬૦૦૦ સ્કેવર ફુટનું ૪ બેડ રુમનું ઘર ચણાવ્યું. ચી.પારૂલના જન્મદિવસે હિન્દુ રિવાજ મુજબ શુભ ચોઘડીયામાં કળશ મુક્યો. મને અને મારી દીકરીઓને ગમતું ફર્નીચર વસાવી લીધુ.
મને યાદ આવ્યું; બાના અવસાન બાદ બાપુજી આવેલ ત્યારે સવાલ કરેલ, “ભાઈ, અહીં ભારત જેવા ગાદલા ના મળે?” અમે low rise platform bed, futon mattress & pillows લાવીને એમનો બેડરૂમ તૈયાર કરી રાખ્યો.
પારૂલની ઇન્ટરનલ મેડિસિન બોર્ડની પરિક્ષા ઓગસ્ટ મહિનામાં, બે મહિના તેણી મારે ત્યાં રહે જેથી ઉપર તેના રૂમમાં શાંતિથી વાંચી શકે, મારા જોબના કારણે હું અંજલીની સંભાળ ન લઈ શકુ, તેથી માટે અમારા મિત્રના બહેન સ્મિતા ભારતથી ઇમીગ્રેશન વિસા સાથે આવેલ, તેમને ડોલર કમાવાની જરૂર હતી જેથી જલ્દી પોતાનું ઘર લઈ શકે. અમે તેમને બેબી સીટર તરીકે રાખી લીધા. હું સ્મિતાબહેનને સવારના સાત વાગ્યામાં અમારા ઘેર લાવીને તુરત હોસ્પિટલ જવા નીકળું. ઉતાવળમાં એક દિવસ ગાડીમાં ગેસ ઓછો હતો, હોસ્પિટલ ૨૫ માઈલ દુર, મનમાં વિચાર આવ્યો-કશો વાંધો નહીં, હોસ્પિટલ પહોંચી જવાશે, ઘેર આવતા ગેસ લઈશ. હોસ્પિટલનું કામ પતાવી બે વાગે નીકળી, હોસ્પિટલની નજીકના ગેસ સ્ટેશન પર પર્સ સાથે ગેસ ભરતી’તી ત્યારે કોણ જાણે ક્યાંથી એક આફ્રો-અમેરિકન છોકરી આવી, “મેમ, (can you shaw me where is North Houston Hospital?), મને નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલનો રસ્તો બતાવશો? હું જવાબ આપતી હતી ત્યાં અચાનક તેનો બોય-ફ્રેન્ડ આવ્યો, મારી પર્સ ખેંચી ભાગ્યો, તેની પાછળ છોકરી પણ ભાગીને ગાડીમાં પલાયન થઇ ગયાં! મે બુમ મારી (thief! Thief! They snached my purse & ran away) ચોર, ચોર, મારું પર્સ ખેંચી ભાગ્યો, કોઈ દોડો, પકડો, કોઈએ સાંભળ્યું નહી, કોઇ ગાડી ઊભી ન રહી!!
મારી ગાડીમાં ગેસ નહીં, મારી પાસે પૈસા નહીં. હુ સ્ટોરમાં અંદર ગઈ, એક દેશીભાઈ બેઠેલા હતા, ખુશ થઈ, ભાઈ મારું પર્સ ચોરાઇ ગયું, બારીમાંથી તમે જોયું છે, મને ૫ ડોલરનો ઊધાર ગેસ આપો, હું નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલમાં ડોકટર છું, આવતી કાલે પૈસા આપી દઈશ, દેશીભાઈનો જવાબ; “હું માલીક નથી, નોકરી કરુ છું. મારાથી કોઇને ઉધાર ગેસ ન આપી શકાય.” હું ગાડી પાસે આવી, મારી આંખમાં આંસુ આવી ગયા. મને જોઇને એક આધેડ ઉમરના આફ્રો-અમેરિકન બહેન મારી પાસે આવ્યા; (do not worry fill up your tank and never come again to this gas station) ચિંતા નહીં કર ગેસ ભરી લે અને કોઈ દિવસ આ ગેસ સ્ટેશન પર ગેસ લેવા આવીશ નહી, આ એરિયા તારા જેવી સ્ત્રી માટે નથી. મેં તેનો આભાર માનીને એડ્રેસ માગ્યું જેથી હું તેને ચેક મોકલાવી શકુ. “પહેલા ગેસ ભરવાનું શરું કર, હું એડ્રેસ આપું છું” કહીને બીજા પંપ પર પોતાની ગાડીમાં ગેસ ભરવા લાગી. મેં ગેસ ભરી ઉપર જોયું તો, તે બહેન એડ્રેસ આપ્યા વગર જતા રહ્યા વગર. બીજો અનુભવ દેશીનો !
અજાણી અને આફ્રો અમેરિકન બહેને મદદ કરી, આપણે ભારતીઓ જેને કલ્લુ કહીને વખોડીએ તેણે જ મને મદદ કરી. મારી માન્યતા પ્રમાણે કદી કોઈના માટે અભિપ્રાય બાંધવા નહી, પ્રભુએ સૌને સરખા ઘડ્યા છે, રૂપ-રંગથી માણસની ઓળખ નહીં કરવી જોઇએ. ઘેર પહોંચીને સૌથી પહેલા ક્રેડીટ કાર્ડની ઓફિસમાં ફોન કરી જણાવ્યું ને કાર્ડ બંધ કરાવ્યું. સાંજે મારા પતિને અને પારૂલને વાત કરી, પારૂલે સલાહ આપી “મમ્મી, કોઈ દિવસ પર્સ ખભે લટકાવી ગેસ નહી લેવાનો, પૈસા/કાર્ડ કાઢી પેંટના ખીસામાં મુકી દેવાના, ગાડી લોક કરી ગાડીની ચાવી બીજા ખીસામાં મુકીને ગેસ લેવાનો. ડ્રાઇવિંગ લાયસન્સ પર્સ સાથે ગયું. લાઈસન્સ વગર ગાડી ચલાવાય નહી. સવારે અમે બન્ને સાથે હોસ્પિટલ ગયા. વહેલા નીકળી ડીપીએસની ઓફિસે ગયા, ઓફિસરને વાત કરી સોસિયલ સિક્યોરિટી નંબર આપ્યો, તુરત કોમ્યુટર પર જોયું ફોટો પાડ્યો, નવું લાઈસન્સ મળી ગયુ! ઓફિસરનો આભાર માન્યો. અમેરિકાની કાર્ય વ્યવસ્થાને ધન્યવાદ! બે દિવસ પછી હોસ્પિટલની લોબીમાંથી મારું લાઈસન્સ હોસ્પિટલ કર્મચારીને મળ્યું. ચોરને લાઈસન્સની જરૂર ન હોય, ફક્ત પૈસા અને ક્રેડિટ કાર્ડની જ જરૂર હોય!
પારૂલની બોર્ડની પરિક્ષા ઓગસ્ટ મહિનામાં પુરી થઈ. ચિરાગે હ્યુસ્ટનના ટી આઇ પ્લાન્ટમાં બદલી કરાવી. પારૂલે હોસ્પિટાલીસ્ટની નોકરી માટે અરજી કરેલ તેનો ઇન્ટરવ્યુ ઓસ્ટિનની હોસ્પિટલમાં આવ્યો, ત્યાં નોકરી મળી ગઈ. હ્યુસ્ટનનો ટી આઈ પ્લાન્ટ બંધ થતા ચિરાગ એના માતા-પિતા પાસે ઓસ્ટિન આવ્યો. અંજલી ત્રણ મહિનાની હતી, પારૂલ અંજલીની અડધું પીધેલ દુધની બોટલ રેફરીજેટરમાં મુકે તેનો સરલાબહેનને વાંધો, એઠું દુધ મુકે છે! ઠાકોરજીનું દુધ અભડાય છે, જમવા બેસે ત્યારે પારૂલ શાક દાળ પોતાની હાથે લે તેનો પણ તેમને વાંધો, બધુ એઠું કરે છે. પારૂલ મનમાં વિચારે કે આ તો રોજનું થયું.
એક દિવસ મને વાત કરી “મમ્મી બધા ધર્મમાં નિર્દોષ બાળકોને ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે તે સાચી વાત?”
“હા બેટા સાચી વાત, કેમ આ પુછે છે?
“તો પછી અંજલીનું અડધું પીધેલ દુધની બોટલ રેફરીજેટરમાં બીજા દુધ સાથે મુકુ તો દુધ અભડાય?”
“ના, એવું કોઇ ધર્મમાં લખ્યુ હોય તે મારી જાણમાં નથી.”
પારૂલનો પણ પગાર ૬ આંકડાનો થયો કે તુરત જ ચિરાગે ઓસ્ટિનમાં ત્રણ બેડરૂમનું ઘર લીધું ચિરાગ હવે આખો દિવસ ઘેર કોમપ્યુટર પર શેર બજારનું કામ કરે જે કોલેજમાં હતો ત્યારથી કરતો હતો, જોકે નોકરી માટેના પ્રયત્નો તો ચાલુ જ હતા.
પારૂલની હોસ્પિટાલીસ્ટની નોકરી ૧૨ કલાકની; અંજલીને સવારના ૭ વાગે પ્રાયવેટ ડે કેરમાં મુકે, સાંજે ૩ વાગે ચિરાગનું શેર બજાર પુરું થાય ત્યાર પછી અંજલીને ઘેર લાવે. અંજલી ડે કેરમાં રહેવાથી અવાર નવાર માંદી પડે, પારૂલનો મને ફોન આવે; “મમ્મી હમણા જ ઓસ્ટિન આવવા નીકળ, અંજલી માંદી છે” હું અડધી રાત હોય તો પણ જવા નીકળું, સવાર થતા ઓસ્ટિન પહોંચી જાઉ, જેથી પારૂલ કામ પર જઈ શકે.
સરલાબહેન એક દિવસની પણ રજા ન લે, તેમની સેવા-પૂજા અટકી પડે! શું થાય? જેવી લેણ દેણ!.નોર્થ હ્યુસ્ટન હોસ્પિટલ પ્રાઈવેટ ડોકટરોના હસ્તક આવી, એનેસ્થેસ્યા ગ્રુપ પ્રેકટીસ બદલાણી, સર્જનનો ઇરાદો પગારદાર નર્સ પ્રેકટીશનરથી જ ચલાવવાનો જેથી કંટ્રોલ તેમના હસ્તક રહે. રમેશના સારા નશીબે મેમોરિયલ હોસ્પિટલના એનેસ્થેસ્યોલોજીસ્ટ ગ્રુપમાં નોકરી મળી ગઈ. મારે લોકમ જ કરવું હતું જેથી હું ગમે ત્યારે દોહિત્રીને રાખવા જઈ શકુ. મે બે ત્રણ લોકમ એજન્સીમાં અરજી કરી. અરજી સાથે બધા સર્ટિફિકેટ તથા ડોકટરના સારા કામ કર્યાના પ્રમાણપત્રો પણ મોકલ્યા. લોકમ-વર્ક માટે હ્યુસ્ટનના આજુબાજુના ગામમાં જવાનું થતું; ૫૦-૭૦ માઈલ વન વે ડ્રાઇવિંગ થઈ જતું. એક હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જનના દર્દીને સ્પાઇનલ એનેસ્થેસીયા આપેલ, પગની એડીના હાડકાની સર્જરી હતી. દર્દીને તંદ્રાની દવા આપેલ જેથી હાડકાની સર્જરીમાં વપરાતી હથોડી વગેરે સાધનોના અવાજથી ગભરાય નહીં; આ સર્જન, નર્સ અને આસિસ્ટન્ટ ડૉકટર સાથે ડર્ટી જોક્સ કરવા માટૅ મશહૂર હતો, એણે એક જોક્સ કર્યો જે હું અહીં લખી નહીં શકુ. બીજા દિવસે મેં એજન્સીને ફોન કરી જણાવ્યું; મારે અહીં કામ નથી કરવું, કારણ આપ્યું હોસ્પિટલ ઘણી દુર છે. કોન્ટ્રેક્ટ કરેલ તેથી બીજા એનેસ્થેસ્યોલોજીસ્ટ ન મળે ત્યાં સુધી મારે કામ કરવું પડે. મારા નશીબે બે દિવસમાં એજન્સીને બીજા ડોકટર મળી ગયા. મને એજન્સી મારફત ઓસ્ટિનથી પચાસ માઈલ દુરની હોસ્પિટલમાં એક મહિનાનું કામ મળ્યું. જાણી પારૂલ ખુશ થઈ “મમ્મી તું મારે ત્યાં રહેજે એજન્સી તને માઇલેજના પૈસા આપશે, સરસ મને અંજલી સાથે રહેવા મળશે ૧૫ મહિનાની ચાલતી બોલતી થયેલ. એક દિવસ ઓપરેશન રૂમની લોબીના ડબલ ડૉર જે પારદર્શક કાચના હોય છે, હું અંદર આવવા ઊભી હતી ત્યાં ડૉર અચાનક ખુલ્યું અને મારા માથા સાથે જોરથી ભટકાયું; હું ભીંતના ટેકે બેઉ હાથ માથા પર રાખી ઊભી રહી, તુરત જ સ્ટ્રેચર સાથે ડોકટર આવ્યા, મને પુછ્યું “(Indu Did you pass out), (no I am having headache) ના, મને માથામાં દુઃખે છે. મને સ્ટ્રેચરમાં એક્ષરે અને સી ટી સ્કેન માટૅ લઈ ગયા. અમેરિકામાં પ્રોટોકોલ પ્રમાણે માથામાં ઈજા થયેલ બધા દર્દીના એક્ષરે/સી ટી સ્કેન અનિવાર્ય. મારો એક્ષરે અને સી ટી સ્કેન નોરમલ હતા.
હું ઓસ્ટિન પારૂલને ત્યાં હતી ત્યારે શીતલ અને વિપુલ ફરવા માટે આવ્યા. શનિવારે અમે બધા હિલ કંટ્રી ફરવા ગયા, ત્યાં પારૂલને ચકર આવ્યા, અમે તુરત ઘેર આવ્યા. પ્રેગનન્સી ટેસ્ટ પોઝીટીવ હતો. સોમવારે ડોકટરને બતાવવા ગયા, ડોકટરે તપાસ કરી પારૂલ સગર્ભા છે. બીજી વખત નાનીમા થઈશ તેનો મને આનંદ થયો. ચિરાગે તેના મમ્મીને જણાવ્યું; સરલાબહેનનો જવાબ “આટલું જલ્દી બીજું બાળક!”. ૪ મહિને અલ્ટ્રાસાઉંડમાં ખબર પડી પારૂલને દીકરો છે.સમાચાર જાણી સરલાબહેન ખુશ થયા! ચિરાગના કાકા-કાકી ન્યુજર્સીથી પારૂલની પ્રસુતી વખતે ઓસ્ટિન આવ્યા, પારૂલને રોજ સુંઠ કરી આપતા. પારૂલ ના પાડે તો વઢે પાડે, “સવાશેર સુંઠ ખાવી જ જોઇએ જેથી કમરનો દુઃખાવો ના થાય અને છોકરો મજબુત થાય. દીકરાનું નામ ચિરાગે દરેક ગ્રાંડ પેરેન્ટ્સના નામના પહેલા અક્ષર; અનિલ ભાઈનો એ, રમેશનો ર, ઇન્દુનો આઇ અને સરલાનો સ જોડીને એરિસ(ARIS) પાડ્યું, કેટલો સુંદર વિચાર!
ચિરાગના પ્રયત્ન સફળ થયા, તેને હ્યુસ્ટનમાં મોરગન સ્ટૅનલી બ્રોકરેજ ફર્મમાં કામ મળી ગયું.
પારૂલ-ચિરાગ તેમના બન્ને બાળકો સાથે અઠવાડિયું અમારે ત્યાં રહ્યા. સુગરલેંડમાં અમારા ઘરની નજીક ઘર લીધું, સારું ચોઘડિયું જોઇને ત્યા રહેવા ગયા. પારૂલે ઇન્ટરનલ મેડિસિન ગ્રુપ પ્રેકટિસ ત્રણ પાર્ટનર સાથે શરૂ કરી. અંજલીને નર્સરી સ્કુલ માં દાખલ કરી. એરિસ માટે એક ગુજરાતી બહેનને સોમવારથી શુક્રવાર રાખ્યા. નર્સરી સ્કુલમાં લંચ પછી ફરજીયાત એક કલાક નેપ ટાઈમ હોય, અંજલીને ઊંઘ આવે નહીં બહેન આંખો બંધ કરે અને કોઈ તેનાથી નાના બાળક્નો રડવાનો અવાજ સંભળાય કે તરત ઊભી થાય તે બાળક્ની બાજુમાં બેસે તેના માથા, પીઠ પર વ્હાલથી હાથ ફેરવે અને બાળકને સુવડાવી દે, નાનપણથી અંજલી આટલી પ્રેમાળ. અત્યારે ૨૩ વર્ષની સિવિલ એન્જીનિયર બનીને અમેરીકન નેવી ઓફિસર થઈ છે, તેનો કુટુંબ અને મિત્રો પ્રત્યે એટલો જ પ્રેમ છે.
**
રમેશને એજન્સી મારફત ટેક્ષાસના લરિડો શહેરમાં જનરલ એનેસ્થેસ્યોલોજીસ્ટની નોકરી મળી ગઈ. અમે ડ્રાઇવ કરી હ્યુસ્ટનથી લરિડો પહોંચ્યા. ત્યાં અમારા મુંબઈના મિત્ર હીતેશ પટેલના ઘેર રહ્યા. હીતેશભાઈ બિલ્ડર હતા અને તેમના પત્નિ મનીશા રીયલ એસ્ટેટ એજંટ હતા; તેમણે અમને ભાડાનું બે બેડરૂમનું નાનું ઘર શોધી આપ્યું, અમે એ ઘર એક વર્ષ માટે ભાડે લીધું. હું રમેશને માટે થોડી રસોઇ બનાવી રેફરીજ્રેટરમાં મુકી ડ્રાઇવ કરી હ્યુસ્ટન આવી. રમેશની હોસ્પિટલની વાન તેને લઈ જતી અને કામ પુરું થયા બાદ ઘેર મુકી જતી. નાના ગામમાં જ્યાં ડોકટર બહુ ઓછા હોય ત્યા આવી સગવડનો લાભ મળે, છતા અમેરિકન ડોકટર નાના ગામમાં જવા તૈયાર નથી હોતા! લરિડો શહેર મેક્ષિકોની બોર્ડર પર આવેલ છે અને ત્યાં સ્પેનિશ બોલનારની વસ્તી વધારે છે. પંદર દિવસ બાદ રમેશને લોંગ વિકએન્ડ હતો ત્યારે હીતેશભાઈ તેમના પત્નિ મનીશા અને દીકરા માનવ અને યશ સાથે હ્યુસ્ટન આવ્યા. પહેલી વખત અમારે ત્યાં આવ્યા; મેં ચુરમાના લાડુ દાળ-ભાત બટેટા- રીંગણનું શાક અને વાલ બનાવ્યા. સૌ જમ્યા પછી રમેશે તેઓને અમારું ઘર બતાવ્યું. હીતેશને અમારા ઘરનો પ્લાન ખૂબ ગમી ગયો, “મનીશા આપણે લરિડોમાં આવું ઘર ચણાવીશું?”
“હીતેશ આવી રાઉન્ડ બારીઓ અને આવા પીલર બનાવવા વાળા કારીગર લરિડોમાં મળશે?”
“કારીગરની તું ચિંતા નહી કરીશ હું મેક્ષિકોથી લઈ આવીશ”
“ભલે મને તો ખૂબ ગમશે”.અમારો ગેસ્ટ બેડરૂમ ઉપર હતો, તેઓ ઉપર સુવા ગયા. સવારે હું ઊઠી ચા બનાવી તથા કેશર પિસ્તા બદામ એલાયચી નાખી દૂધ બનાવ્યું. હું તેમને બોલાવવા ઉપર ગઈ, શું જોયું? ત્રણ મહિનાથી ઇન્ડિયાથી પાર્સલમાં આવેલ લાકડાનું મંદિર પડેલ જે એસેમ્બલ કરવાનું અમારા બન્નેના વ્યવસાયને હિસાબે રહી જતું હતું તે ત્રણે જણા એસેમ્બલ કરી રહ્યા હતા, “હીતેશભાઈ મનીશા તમારે આ કામ કરવાનું! બે દિવસ માટે આવ્યા છો આરામ કરવાનો” “માસી હજુ તમે અમને મહેમાન માનો છો?” “ના મનીશા એવું નથી તમે ઘરના જ છો મારી પારૂલ, શીતલ અને તું મારી ત્રીજી દીકરી ચાલો નીચે ચા પાણી નાસ્તો તૈયાર છે પછી આ કામ પૂરું કરજો” “હા મમ્મી દાદીની વાત સાચી છે મને ભૂખ લાગી છે” “માનવ બેટા ચાલ મારી સાથે નાસ્તો તૈયાર છે” “દાદી તમે જાવ હું મમ્મી પપ્પાને લઈને આવું છું”, બધા સાથે નીચે આવ્યા, ચા-દૂધ ગરમ બટેટા-પૌંઆનો નાસ્તો કર્યો. તૈયાર થઈને હ્યુસ્ટનના પ્રખ્યાત શ્રી પ્રમુખ સ્વામી મહારાજના સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા, જે બાપ્સ તરીખે ઓળખાય છે. હીતેશ પટેલ, મનીશા જૈન, બાપ્સના મંદિરે દર્શન કર્યા અને સાયોના કાફેમાં ગયા; મનીશાએ નાસ્તાના પેકેટ ખરીદ્યા. લરિડોમાં ઇન્ડિયાના નાસ્તા મળે નહી. ત્યાંથી મનીશાની ઇચ્છા જૈન મંદિર જવાની હતી, રવિવાર હતો એટલે ત્યાં પાઠશાળાના બાળકોના કાર્યક્ર્મ માનવ અને યસ સાથે જોયા, અને ત્યા જૈન ભોજન લીધું, ઘેર આવ્યા. સોમવારે સવારે ચા નાસ્તો કરી રમેશની અને હીતેશની ગાડી ઊપડી લરિડૉના રસ્તે! હું આવડા મોટા ઘરમાં એકલી! મનમાં મારી જાતની સાથે વાત કરી; તું ક્યાં એકલી છે? મંદિરમાં તારી રક્ષા કરવા વાળા શિવ-શક્તિ બેઠા છે, રોજ સ્નાન કરી દેવી અપરાધ સ્તોત્ર અને શિવાષ્ટકમ બોલે છે, દર મંગળવારે હનુમાન ચાલીસા બોલે છે.અઠવાડિયામાં ફેમિલી પ્રેકટિસ લોકમ હેરિસ કાઉન્ટી હોસ્પિટલ ડિસ્ટ્રિક્ટના ક્લિનીક્માં શરૂ થઈ જશે, સોમવારથી શનિવાર સુધી કામમાં દિવસ પૂરો થશે. ડાઉન ટાઉન હ્યુસ્ટન સાઉથ મેઈન સ્ટ્રીટમાં સવારના ૮ થી ૫ કામ કરવાનું શરું કર્યું. ૧ કલાક લંચ બ્રેકમાં બધા ડોકટર ડાઇનિંગ રૂમમાં આવે, મારી ઓળખાણ આપી બે અમેરિકન ડો. હતા તેઓ બહાર લંચ લેવા ગયા. ત્રણ ઈન્ડિયન ડોકટરે ઘેરથી લાવેલ લંચ ખાધું. ડોકટર રંજન શાહ સાથે મારે ઓળખાણ થઈ; જાણવા મળ્યું દર રવિવારે પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાય ક્લાસ તેઓ ચલાવતા હતા. હું ત્યાં બે રવિવાર ગઈ. રેકોર્ડીંગ જ સાંભળવાનું, મજા નહી આવી. ચિનમયા મિશન હ્યુસ્ટનમાં છે તેની જાણ થતા આનંદ થયો. મેં અને રમેશે તેમના ગીતા પ્રવચન મુંબઈમાં ચર્ચગેટ પરના વિશાળ આઝાદ મેદાનમાં સાંભળેલ, ૩૦૦થી ૫૦૦ શ્રોતાઓ જરા પણ અવાજ વગર શાંતિથી સાંભળતા, સ્વામીજીની વાણીનો એ પ્રભાવ!હું ૫ વર્ષથી રિટાયર્ડ છું. અઠવાડીયાના ત્રણ દિવસ કાઉન્ટીના Literacy council for foreign langveges માં અંગ્રેજી શીખવાડવા જતી હતી. કોવિડ મહામારી શરું થઈ ત્યારથી ઓન લાઇન ક્લાશ થોડો સમય લીધા.ભારત અને પાકિસ્તાનથી આવેલ વડીલોને અંગ્રેજી શીખવાડવાનો મને મને આનંદ થતો, નિયમીત દર રવિવારે આચાર્યશ્રી ગૌરાંગભાઈ સવારે ગીતા પર પ્રવચન આપે. માતા-પિતા પ્રવચનમાં હોય ત્યારે તેમના બાળકો બાળવિહારના ક્લાસમાં બેસે; કિન્નર ગાર્ડનથી બારમાં ધોરણ સુધીના ક્લાસ ઉંમર પ્રમાણે તેમને આપણા હીન્દુધર્મનું જ્ઞાન મળે; દાખલા તરીકે કિન્નર ગાર્ડનમાં એ બી સી ડી શિખવાડે, એ ફોર એટિટ્યુડ, બી ફોર બિહેવિયર, પહેલા ધોરણમાં રામયણની વાર્તા, બીજા ધોરણમાં હનુમાન ચાલીસા, ત્રીજા ધોરણમાં ભાગવતની કૃષ્ણલીલાની વાર્તા વગેરે, શ્રીમતિ દર્શનાબહેન બાલ વિહારના શિક્ષકોને દર વર્ષે ટ્રેનિંગ આપે. આ રીતે ખૂબ સમયસર અને કુશળતા પુર્વકનું આયોજન. મારા બન્ને ગ્રાન્ડચાઇલ્ડ અંજલી અને એરિસને કિન્નર ગાર્ડનથી ૧૨ ધોરણ સુધી ચિનમયા મિશનમાં ધર્મના સંસ્કાર મળ્યા, જે અંજલીએ તેના આરંગેત્રના પ્રોગ્રામ વખતે “જળકમળ છાંડી જાને બાળક…” કવિતાના રેકોર્ડીંગ સાથે ભારત નાટ્યમ નૃત્ય કરી દીપાવ્યા, બન્ને જણાના રૂમના સાઈડ ટેબલ પર કૃષ્ણ ભગવાનની મુર્તી છે.૯/૧૧/૨૦૦૧માં ન્યુયોર્ક શહેરના આખી દુનિયાના પ્રખ્યાત વેપાર ઉદ્યોગ ૨ ટાવર પર આંતકવાદીએ આત્મઘાત હુમલા કર્યા, ત્યારે અમારા જમાઇ ચિરાગ મોર્ગન સ્ટેનલિની ઓફિસમાં મિટીંગમાં હતા, પહેલા ટાવર પરના હુમલાની ખબર સાંભળતા જ તેમણે ૨૧માં માળથી નીચે ઊતરવાનું શરુ કર્યું; જાહેરાતમાં જણાવતા હતા બધા ઊપરના માળ પરની અગાશી પર ઊભા રહો ત્યાંથી તમને હેલિકોપ્ટર નીચે લાવશે. ચિરાગે વિચાર્યું, એ કેવી રીતે શક્ય હોઈ શકે, આંતકવાદી ઊપરના માળ પરથી જ હુમલો કરે છે, તુરત નીચે દાદરા ઊતરવા લાગ્યા તેમની સાથે તેમણે એક બહેન ગભરાયેલ હતા તેનો હાથ પકડ્યો. બન્ને સાથે ઊતરતા હતા ત્યાં અચાનક ચિરાગને કોઇ ઓફિસ બિલ્ડિંગને જોડતો પુલ દેખાયો તેની તરફ વળ્યા અને બહેનનો હાથ છુટી ગયો. ચિરાગે નીચે ઊતરવાનું ચાલુ રાખ્યું; રસ્તા પર આવ્યા, ઘોર અંધારું સુર્ય નારાયણના પ્રકાશમાં દોડવાનું ચાલુ રાખ્યું, પોલિસની વાન ફરતી હતી બધાને વોર્નિંગ આપી રહી હતી.“કોઈ રસ્તા પર ન આવે, પોતપોતાના ઘરમાં રહે”ચિરાગને કઈ દિશામાં દોડવું ખબર ન હતી. ટૅલિવિઝન પર મેં સમાચાર સાંભળ્યા પારૂલ કામ પર જતી હતી.તેણે એન પી આર રેડિયો પર સાંભળ્યું, મને રડતા રડતા ફોન કર્યો “મોમ ચિરાગ ન્યુયોર્ક સાઉથ ટાવરમાં છે, હું ફોન કરૂ છું ઉપાડતો નથી શું કરું?”“બેટા, તું રડતા રડતા ડ્રાઇવ ના કર, તારા પાર્ટનરને જણાવ એ તારા દર્દીને સંભાળે, તું ઘેર જા હું પણ તારા ઘેર જાઉ છું, આપણે બધા સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ, ચિરાગ સહીસલામત ઘેર આવશે.”મારા પતિ તેમના લોકમ કામ પર હતા તેઓનો કોન્ટ્રાક પુરો થવાને બે દિવસ બાકી હતા, મેં ફોન કરી જણાવ્યું; “તમે વહેલા આવો તો સારૂ, પારૂલ અને અને બન્ને બાળકો રડ્યા કરે છે” મારા પતિ સંમત થયા, તુરત ઓફિસમાં ગયા જણાવ્યું (I have to leave as my son-in law is involved in Newyork tower terrorist event) ઉતાવળમાં બોલાયેલ આ શબ્દોએ કેવી ગેરસમજ કરી તે હું આગળ જણાવું છું.હું પારૂલને ત્યાં હતી. રમેશ પણ સાંજના આવી ગયા, પારૂલ ફોન પકડીને બેઠેલ ન્યુજર્સી ચિરાગના બે ફોઇને ત્યાં પણ ફોન કર્યા કરે, એ બધા પારૂલને આશ્વાસન આપે, “અમને ખબર મળશે કે તુરત જણાવીશું.”ચિરાગ દોડતો હતો, તેણે પોલિસ વાનની જાહેરાત સાંભળી “હડસન નદીની ફેરિ અત્યારે ચાલુ છે જેને ન્યુજર્સી જવું હોય તે ડેક પર આવે.” સરસ હવે ફોઇને ત્યાં પહોંચાશે, ચિરાગ ફેરિમાં ન્યુજર્સી પહોંચ્યો ત્યાં તેનો ફોન ચાલુ થયો. ન્યુયોર્ક શહેરના ફોન ટાવરના તથા વિજળીના વાયર કાપી નાખવામાં આવેલ. રાતના બે વાગે ચિરાગને તેના ફુવા તેમના ઘેર લઈ ગયા. ચિરાગના પગ દોડી દોડીને સુજી ગયેલ અને દુઃખતા હતા, તુરત સુઈ ગયો. તેના ફોઇએ પારૂલને ફોન કર્યો, જણાવ્યું ચિરાગ આવી ગયો છે, સુતો છે, સવારે વાત કરશે. બીજે દિવસે સવારે પારૂલે ચિરાગ સાથે વાત કરી. ચિરાગનો સામાન હોટેલ પર હતો. બે દિવસ ફોઇને ત્યાં આરામ કરી સામાન લીધો એરપોર્ટ ગયો હ્યુસ્ટનની જે ફ્લાઈટ મળી તેમાં હ્યુસ્ટન આવ્યો.આ બધી હાડમારીની શારીરિક અસર તો થોડો સમય રહી, પરંતુ માનસિક અસર ખૂબ હતી મોર્ગન સ્ટેનલીમાં રાજીનામું આપ્યું. થોડો સમય ઘેર બાળકો સાથે રહ્યા પછી, પારૂલના ક્લિનિકની ઓફિસ મેનેજર દર્દીના ઇન્સ્યોરન્સ ક્લેમ ફાઇલ કરવામાં ખૂબ સમય વેડફતી હોવાની જાણ થતા ચિરાગે આ કામ સંભાળવાનું નક્કી કર્યું. એમ બી એ ની ડિગ્રી તો હતી જ, થોડું મેડિકલ બીલ માટેના દર્દીના નિદાન મુજબના કોડની જાણકારી જ કરવાની રહી. આમ કરવાથી બે ફાયદા; પારૂલની કમાણી ઘરમાં રહે અને સમયસર ઇન્સ્યોરન્સના કલેમ પાસ થઈ જાય.રમેશને બીજો લોકમ જોબ મળી ગયો, એક દિવસ સવારના two FBI officers અમારે ઘેર આવીને મને પુછ્યું “રમેશ શાહ અહીં રહે છે?”મેં હા પાડી; બીજો સવાલ “અત્યારે ક્યાં છે? અમારે તેમને સવાલ પુછવાના છે,”“તેઓ અત્યારે કામ પર ગયા છે, હું પુછી શકુ, આપને શા કારણસર મારા પતિને સવાલ કરવાના છે?”“૯/૧૧ માં જે કોઇ ઇન્વોલ્ડ હતા તેની તપાસ માટે અમારી નિમણુંક થયેલ છે, તમારો સન ઇન લો વોઝ ઇન્વોલ્ડ તેવું તમારા પતિએ જણાવેલ, તમે શાહ મુસ્લિમ છો.”શાહ સરનેઈમ મુસલમાનમાં અને હિંદુ બન્નેમાં હોય તેની જાણ કદાચ આ ઓફીસરને નહીં હોય!!ખેર, મે ખુલાસો કર્યો; “અમે હિન્દુ છીએ, સર અમારો સન-ઇન લો terrorist નથી, એ એન્જિનિયર અને એમ બી એ થયેલ છે. ૯/૧૧ના દિવસે એ મોર્ગન સ્ટેનલિની ઓફિસમાં હતા અને એ ટૅરેરિસ્ટ એટેકના ભોગ બન્યા, ભગવાનની કૃપાથી એ સહિસલામત અહીં આવી શક્યા. મેં મારા પતિને તુરત આવવા જણાવ્યું તેથી ઉતાવળમાં તેમનાથી ખોટો શબ્દ બોલાઈ ગયો, વિક્ટિમ ને બદલે ઇન્વોલ્ડ, અમે બન્ને ડોકટર છીએ, મારી દીકરી ડોકટર છે તેની પોતાની પ્રેકટીસ મિસોરીસિટીમાં છે.” ઘરમાં તેણે બે લેબ કોટ અમારા બન્નેના નામ લખેલા જોયા, તેને મારી વાત સત્ય લાગી.“થેન્કસ મેમ સોરી ટુ બોધર યુ” બોલી જતા રહ્યા. અત્યારે એ વાતને ૨૦ વર્ષ થઈ ગયા છે છતા ૯/૧૧ આવે અને મારા માનસ પટ પર એ ગોઝારો દિવસ આવી જાય. ૨૦૧૨માં ૯/૧૧ના દિવસે મેં એક કાવ્ય મારા ગુજરાતી સાહિત્યસરિતા હ્યુસ્ટનના બ્લોગ પર મુકેલ છે;સ્મરણરહ્યું, વરસવહ્યા અગિયાર
ના ભૂલાય, ગોઝારો દિન નવઅગિયારઆભને આંબતી બે ઇમારતો મગરૂર
ભૂમિએ પડી પળમાં થઇ ભંગારવિકારી જુજ માનવે મચાવ્યો કાળો કેર
ખુદ મરી, લીધા સાથ સેંકડો બેકસુરઇશુ કૃષ્ણ અલ્લાહ, કરે જોઇ વિચાર!
હળાહળ કળિયુગ, ભૂલ્યા તુજ બાળ સંસ્કારપાર્થુ વિભુ, નમાવી શીશ, આજ તુજ દ્વાર
વહાવ અમીઝરા, હટાવ વેરઝેરવિકાર.
“શબ્દ સથવારે” ૨૦૧૦માં શરુ કર્યોહું ગદ્ય અને પદ્ય બન્ને લખું છું. ગુજરાતી વાર્તા સ્પર્ધામાં મારી બે વાર્તાને સ્થાન મળેલ છે.મારા કુટુંબમાં ચડતી પડતી આવી છતા, દર વખતે અમે હિંમતથી આગળ વધ્યા, અમારા બાળકોએ અમને સાથ સહકાર આપ્યો, આપતા જ રહેશે, મને પુરો ભરોસો છે.હું ૫ વર્ષથી રિટાયર્ડ છું. રિટાયર્ડ થયા પછી અઠવાડીયાના ત્રણ દિવસ કાઉન્ટીની Literacy Council for Foreign Languagesમાં અંગ્રેજી શીખવાડવા જતી હતી. કોવિડ મહામારી દરમ્યાન ઓન લાઇન ક્લાસ થોડો સમય માટે જ ચાલુ રહ્યા. ભારત અને પાકિસ્તાનથી આવેલ વડીલોને અંગ્રેજી શીખવાડવાનો મને આનંદ થતો! તેમના અમેરિકા આવ્યા બાદ તેમની સ્વદેશ પ્રત્યેની વિશેષ લાગણી જાણવા મળતી! રમેશ semi_રિટાયર્ડ થયા પછી, Covid-Vaccination and Voluntary Charity Careમાં ૩-૪ દિવસ/અઠવાડીયે વ્યસ્ત રહે છે.
સમાપ્ત
હવે પછી – સહકારની કેડીએ : મનસુખ વાઘેલા
-
ગાળમુક્ત ગામ તો બન્યું, ગાળમુક્ત સમાજ ક્યારે બનશે?
નિસબત
ચંદુ મહેરિયા
સાક્ષર ગામ, સમરસ ગામ, સ્વચ્છ ગામ, વ્યસનમુક્ત ગામ, પ્રદૂષણમુક્ત ગામ એવું તો આપણે જોયું, વાંચ્યુ, સાંભળ્યું છે. પણ ગાળમુક્ત ગામ? હા, ગાળમુક્ત ગામ. આશરે ૬ હજારની વસ્તીના મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના બોરસર ગામે ગાળમુક્ત ગામ બનવાનો સંકલ્પ કર્યો છે. ગામમાં ગાળોનું ભારે ચલણ. એથી કંટાળીને પંચાયત અને લોકોએ મળીને ગાળોને ગામવટો આપવાનો નિર્ધાર કર્યો છે. તેમણે ગાળોથી મુક્તિનું અભિયાન તો આદર્યું છે. સાથે ગાળ બોલનારને રૂ. ૫૦૦નો દંડ અને એક મહિના સુધી ગામની સફાઈની સજા પણ નક્કી કરી છે. એની કેટલી અસર પડશે અને બોરસર ગાળમુક્ત બનવામાં સફળ થશે કે કેમ એ તો કાળના ગર્ભમાં છૂપાયેલું છે. પરંતુ ગાળમુક્તિની ઝુંબેશ અને સંકલ્પ જ સરાહનીય પહેલ છે અને અનેક ગામો, નગરો, શહેરોએ તેનું અનુકરણ કરવા જેવું છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી અપશબ્દ, ભૂંડો કે ખરાબ બોલ એટલે ગાળ. એવો અર્થ સાર્થ ગુજરાતી જોડણીકોશમાં જણાવ્યો છે. પરંતુ માણસ આવો ખરાબ કે ભૂંડો બોલ કેમ, કોને, ક્યારે અને ક્યાં બોલે, લખે, આચરે છે તે વિચારવા જેવું છે. માણસ હાલતા- ચાલતા, હરતા- ફરતા, વાતવાતમાં, ઘરમાં, ઓફિસમાં, શાળા-કોલેજમાં, મોલમાં અને મંદિરમાં; દુકાને અને સ્મશાને, સડક પર અને ક્યારેક સંસદમાં , સાઈકલ ચલાવતા અને મોંઘી મર્સિડીઝ હાંકતા, ખેતરમાં કામ કરતા અને યુનિવર્સિટીમાં પરીક્ષા લેતા, રેડિયો સાંભળતા અને રેંટિયો કાંતતા, સર્જરી કરતા અને શર્ટને બટન ટાંકતા – એમ સમય-સ્થળના કશા ય બાધ વિના ગાળો બોલતો હોય છે.
કહે છે કે વાદ-વિવાદ અને ચર્ચા-વિમર્શ કરતાં દલીલો કે તર્ક ખૂટી જાય ત્યારે માણસ ગાળાગાળી પર ઉતરી આવે છે. પોતાનાથી નબળાને ઉતારી પાડવા, અપમાનિત કરવા , તેની લાગણીને ઠેસ પહોંચાડવા, તેનું ચારિત્ર્ય હરણ કરવા ગાળો બોલાય છે. ગાળો બોલનાર વ્યક્તિ ગુસ્સો, ક્રોધ, નિરાશા, હતાશા અને પોતાની સુપ્રીમસી સ્થાપવા ગાળો બોલે છે, ભાષાનો અતિ આક્રમક ઉપયોગ કરીને લોકો ગાળો બોલે છે, એવું મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે.
ગાળો પુરુષો બોલે છે તેમ સ્ત્રીઓ પણ બોલે છે. યુવાનો અને આધેડો, નાના બાળકો અને વયોવૃધ્ધો પણ ગાળો બોલે છે. ગાળો કોઈ એક દેશ પૂરતી મર્યાદિત નથી. તેનો વ્યાપ વિશ્વ આખામાં છે. કોઈ ચોક્કસ લિંગ, ભાષા, વર્ણ, વર્ગમાં બંધાય એ ગાળ શાની? આ એક પુરાણી એટલી જ ચિંતાજનક ભારતીય પરંપરા છે. જેને દેશવટો આપવાની જરૂર છે. લગભગ બધી જ ગાળો મહિલાઓને કેન્દ્રમાં રાખીને, તેના શરીરના અંગ-ઉપાંગને સંબંધિત હોય છે. મા, બહેન, દીકરીને જ ઉતારી પાડતી ગાળો જ બહુધા બોલાય છે. ગાળ વ્યક્તિના મર્મસ્થાને ઘા કરે છે. વ્યક્તિ માટે ઘરની મહિલાઓનું માન-અપમાન, ઈજ્જત- આબરુ મહત્વના છે એટલું જ નહીં પવિત્ર છે. એટલે મહિલાની પવિત્રતાને લાંછન લગાડતી, તેના ચારિત્ર પર ડાઘ લગાડતી ભૂંડામાયલી ગાળો બોલાય છે.
ભારતમાં ગાળો સામાજિક રીતે અસ્વીકાર્ય વ્યવહાર છે અને કાયદાની દ્રષ્ટિએ દંડનીય અપરાધ છે. તેમ છતાં ગાળોનું ચલણ ઘટતું નથી. ગાળો પર કંઈ સમાજના નીચલા વર્ગનો જ ઈજારો નથી. ઉચ્ચ શિક્ષિત અને જ્ઞાતિ કોટિક્રમમાં ટોચે રહેતી જ્ઞાતિના લોકો પણ ગાળો બોલે છે. ગુજરાતી કે દેશની સ્થાનિક ભાષામાં તો ગાળો બોલાય જ છે. વિશ્વભાષા અંગ્રેજીમાં પણ ગાળો બોલાય છે. જેની માત્રુભાષા અંગ્રેજી નથી તે જો અંગ્રેજીમાં ગાળો બોલે તો મોર્ડન અને ફેશનેબલ ગણાય છે!
ગાળોનો ઉદભવ ભાષાના ઉદભવ અને વિકાસ સાથે જ થયો હશે. લગ્નના ફટાણામાં અને લોકગીતોમાં જે ગાળો બોલાય છે તેની બોલનાર અને સાંભળનાર બેઉ મજા માણે છે. જ્યાં સુધી સમાજમાં સ્ત્રી-પુરુષ સમાનતા હતી અને માતૃસત્તાક સમાજ હતો ત્યાં સુધી ગાળો નહોતી કે તેનું આટલું બધું ચલણ નહોતું. પરંતુ સ્ત્રી- પુરુષ બરાબર ગણાતી અટકી, સમાજમાં તેનું સ્થાન બીજા દરજ્જાનું કે દરજ્જા વગરનું બન્યું અને પિતૃસત્તાક સમાજની બોલબાલા વધી પછી ગાળો પણ સમાજમાં વધી લાગે છે. મહિલાઓને ગાળો બોલીને શિકાર બનાવવાનું અને પુરુષોના મર્મસ્થાને ઘા કરવાનું આસાન બન્યું હશે. ગાળોનો વરસાદ વરસે પછી મારામારી અને મર્ડર સુધ્ધાં થાય છે. એટલે ગાળો હિંસક છે અને અતિહિંસાનો આરંભ છે.
ગાળો બોલવાની સામાજિક અને મનોવૈજ્ઞાનિક અસરો થાય છે. તે કદાચ તણાવ અને ગુસ્સો ઘટાડે છે. તો તેના થકી સામાજિક વિભાજનો વધુ દ્રઢ થાય છે. ઝઘડાના મૂળ નંખાય છે કે ઝઘડાને વધુ મોટો કરે છે. આજકાલ ફિલ્મો અને ઓટીટી પર આવતા કાર્યક્રમોમાં અપશબ્દો અને ગાળોની ભરમાર જોવા મળે છે. ઘરમાં કુટુંબ સાથે બેસીને ન જોઈ શકાય તેવા ટી.વી કાર્યક્રમો પ્રચૂર માત્રામાં પ્રસારિત થાય છે. તેનો સૌથી વધુ ભોગ બાળકો અને કિશોરો બને છે. કેટલાક સાહિત્યમાં પણ વાસ્તવ ના નામે ભરપૂર ગાળો હોય છે. એટલે ગાળોથી બચવું મુશ્કેલ બન્યું છે. ફિલ્મો અને બીજા માધ્યમોમાં જે અપશબ્દો, દ્વિઅર્થી સંવાદો અને ગાળો હોય છે તેના ટીકાકારોને એવું સંભળાવવામાં આવે છે કે અમે તો સમાજમાં જે છે તે જ ફિલ્મોમાં દર્શાવીએ છીએ. કૂવામાં છે તે હવાડામાં આવે છે અને તે હવાડાની ગંદકી આપણા ઘરમાં અને જીવનમાં ઠલવાય છે.
ગાળો બોલનારને કાયદેસર દંડ અને સજા થાય છે. એ રીતે તેના પર કાનૂનની લગામ છે ખરી.પણ તેનાથી તે અટકી નથી. ગાળોની વિરુધ્ધ કોઈ જોરદાર ચળવળ થયાનું જાણમાં નથી.” ધ ગાલી પ્રોજેકટ” ગાળોને લોકોના શબ્દકોશમાંથી અને દિમાગમાંથી હઠાવવાનો પ્રયત્ન જરૂર છે. આ પ્રકલ્પ લોકોને ગાળોનો વિકલ્પ આપે છે. તેમાં અપશબ્દોને હળવા કરી રમૂજ અને હાસ્યમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ થયો છે. આરંભમાં આ પ્રોજેકટમાં લોકો પાસેથી મંગાવવામાં આવેલી લગભગ ૮૦૦ ગાળો પર કામ કરી તેના અહિંસક અને હળવા વિકલ્પો સૂચવ્યા છે. આખરે તો માનવીના શેતાન મગજમાં જ્યાં સુધી ભૂંડા વિચારો, શબ્દો જન્મતા રહેશે ત્યાં સુધી ગાળો રહેવાની. તે મહિલાઓ અને કમજોરને નિશાન બનાવતી અટકે, જાહેરમાં બોલાતી ઓછી થાય તો બોરસર ગામ અપવાદ ન રહેતાં આખો માનવ સમાજ બની શકે. આવું ક્યારે શક્ય બનશે?
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ચિત્રકથા [૧]
કેપ્ટન સાહેબ એમના બહુ પહેલાં લખાયેલાં લેખનમાંથી સંચય કરેલી કેટલીક ચૂંટેલીલી રચનાઓને ‘પુનરોક્તિ’ સ્વરૂપે પુસ્તકનાં રૂપમાં પ્રકાશિત કરવાનું વિચારી રહ્યા છે.એ જાણીને એમ થયું કે તેમના બ્લૉગ ‘જિપ્સીની ડાયરી’ પરથી એવા ઘણા લેખોને ફરીથી માણી શકાય તેમ છે.એ વિચારને અમલમાં મુકવા માટે શરૂઆત તેમના લેખ ‘ચિત્રકથા’થી કરેલ છે.હવેથી દર મહિના ચોથા મંગળવારે આપણે કેપ્ટન સાહેબના લેખોનું “આસપાસ – ચોપાસ” શીર્ષક હેઠળ પુનઃઆચમન કરીશું.સંપાદક મંડળ, વેબ ગુર્જરી
આ વાર્તા વાંચતાં કદાચ લાગશે કે તે એક જાણીતી ફિલ્મની નકલ છે! આગળ જતાં જણાશે કે આ વાત અને ‘પેલી’ જાણીતી ફિલ્મની કથા વચ્ચે ઢાકાની મલમલ જેવો બારીક અને નાજુક અંતરપટ છે. આ અંતરપટની મુલાયમ ભાતમાં કોઈના હૃદયનાં ધબકાર વણાયેલાં લાગે તે બનવાજોગ છે.
મધ્ય પ્રદેશના એક નાનકડા રજવાડામાં સાત સૂરોનાં સાધક કલામહર્ષિ વસે છે. મા દુર્ગાની તેમના પર અસીમ કૃપા છે તેથી જ તેમની સાધના પૂર્ણ થઈ છે એવી તેમને શ્રદ્ધા છે. તેમની પાસે સંગીત શીખવા દૂર દૂરથી પ્રતિભાશાળી કલાકારો આવે છે. તેમનાં સૌથી ઉત્તમ શિષ્યો છે તેમની મોટી પુત્રી અને પુત્ર.
મોટી પુત્રી સિદ્ધ સંગીતકાર થઈ. પિતાએ હોંશથી તેને પરણાવી. તેઓ માનતા હતા કે પતિગૃહે તેની સંગીત સાધના ચાલુ રહેશે; દીકરી નવાગંતુકોને સંગીત શીખવશે અને ઘરાણાંની પરંપરા ચાલુ રાખશે.
કમભાગ્યે સાસરિયું અત્યંત રૂઢિચુસ્ત નીકળ્યું. કોણ જાણે ક્યારે અને કોણે એવી માન્યતા ફેલાવી હતી કે તેમના ધર્મના શુદ્ધ આચરણમાં સંગીત હરામ છે, તેથી લાંબા સમયથી – છેક ભારતના એક ઐતિહાસીક બાદશાહથી માંડી અત્યાર સુધીના અનેક પરિવારો તેનું પાલન કરતા હતા. મોટી દીકરીનાં સાસરિયાં તેમાંનો એક હતો. પરિણામ અત્યંત કરૂણ નીકળ્યું. સંગીત જેનો શ્વાસ હતો, તે રૂંધાઈ ગયો. દુ:ખીત હૃદયે ખાંસાહેબે નક્કી કર્યું, નાની દીકરીને સંગીત ન શીખવવું. તેમને નાનકી પર ઘણું વહાલ હતું. તેના નાજુક અને સંવેદનશીલ હૃદય પર સંગીતને કારણે દુ:ખની સહેજ પણ છાયા ન પડે તેથી તેને સંગીતકક્ષથી દૂર જ રાખી. શિષ્યોને તાલિમ આપી, તેમને રિયાઝ કરવા કહી તેઓ પરસાળમાં રાખેલા પાટ પર બેસી દીકરીને પાંચીકા, પગથિયાં જેવી રમત આનંદથી રમતાં જોઈ ખુશી અનુભવતા.
એક દિવસ ચમત્કાર થયો. હકીકતમાં એ ચમત્કાર નહિ, સાક્ષાત્કાર હતો.
તે સમયે નાનકી છ-એક વર્ષની હતી. અાંગણામાં પગથિયાંની રમત રમતી હતી. પિતાજી અને મોટા ભાઈ અંદરના તાલિમના કમરામાં હતા. પિતાજીએ પુત્રને સરોદ પર એક કઠિન ગત શીખવી અને કહ્યું, “બેટા, આનો રિયાઝ કરો,” કહી બહાર આવ્યા.
ભાઈએ પહેલી વાર આ ગત વગાડી તે નાનકીએ સાંભળી. સાતમા પગથિયા પર પત્થર નાખી લંગડી કરતાં પહેલાં તેણે ભાઈને મોટેથી કહ્યું, “ભૈયા, બાબાને ઐસા નહિ, ઐસા સીખાયા,” કહી આ લાંબી ગત અણિશુદ્ધ રીતે ગાઈ સંભળાવી. ગતના compositionમાં જ્યાં નાજુક ફરક હતો તે ‘જગ્યા’ ફરીથી સંભળાવી. ફક્ત એક વાર સાંભળેલી ગત આત્મસાત કરી તેને ગાઈ સંભળાવી ત્યારે ભાઈ આશ્ચર્ય ચકિત થઈને એકદમ થંભી ગયા! ઓસરીમાં ગોઠવેલા પાટ પર બેઠેલા પિતાજી દીકરીએ ગાઈ સંભળાવેલા સૂરમાં સો ટચના સોના જેવી શુદ્ધતા અનુભવીને સ્તબ્ધ થઈ ગયા. તેમને આશ્ચર્ય થયું કે જ્યારે તેઓ શિષ્યોને તાલિમ આપતા કે પોતે રિયાઝ કરતા, નાનકી ન કદી તેમની સામે બેઠી, કે ન તેણે છાનાંમાનાં સંગીત શીખવાનો પ્રયાસ કર્યો. આજે અચાનક ઘનનીલ વાદળાં પાછળથી ઉદય પામતા શરદપૂર્ણિમાના ચંદ્રની જેમ તેની મેધાને પ્રકાશી ઉઠતી જોઈ પિતાજીએ તેને બોલાવી. હેતથી તેના મસ્તક પર હાથ રાખી તેમણે કહ્યું, “દીકરી, ખુદાએ તારામાં અમને હિરો આપ્યો છે. તેમની રહેમતનો અનાદર મારાથી કેવી રીતે થાય? કાલથી તને વિધીસર શિષ્યા બનાવી સંગીત શીખવીશ.”

આમ શરૂ થઈ આ પ્રતિભાશાળી કન્યાની તાલિમ. પહેલાં ધૃપદ અને ધમારની ગાયકી અને ત્યાર પછી સિતાર. ટૂંક સમયમાં તેનું કૌશલ્ય જોઈ તેમણે દીકરીને ભારે મુશ્કેલ ગણાતું વાદ્ય સૂરબહાર શીખવવાનું નક્કી કર્યું.
દીકરીની આંગળીઓમાં જાદુ હતો. તે વગાડતી ત્યારે તેના વાદ્યમાંથી નીકળતા સૂર જીવંત થઈને નૃત્ય કરતાં હોય તેવું લાગે! પિતાજી અને ભાઈ ગૌરવથી તેની કલાનો ઉત્કર્ષ થતો જોઈ આનંદ પામતા રહ્યા. પિતાજીને ખાતરી થઈ કે એક દિવસ તેમની નાનકી દુનિયાભરમાં ઘરાણાનું નામ રોશન કરશે!
ખાંસાહેબ રાજ્યાશ્રીત સંગીતકાર હતા. એક દિવસ રાજાસાહેબે તેમને વિનંતી કરી. ભારતના વિશ્વવિખ્યાત નર્તકના અઢાર વર્ષના નાના ભાઈ તેમની પાસે સિતાર શીખવા માગે છે. તેમને આપના શિષ્ય બનાવશો? રાજાસાહેબની વિનંતીને હુકમ માની તેમણે યુવાનને શાગિર્દ બનાવ્યો. નાનકી, તેના મોટા ભાઈ અને આ સ્વરૂપવાન યુવાન એક સાથે બેસીને તાલિમ પ્રાપ્ત કરતા હતા. ગુરૂપુત્રીની અદ્ભૂત વાદનકળા અને તેનું સાદું અને સૌંદર્યપૂર્ણ વ્યક્તિત્વ યુવાનના મનમાં વસી ગયું. તેમણે પિતા-ગુરૂને લગ્ન કરવાની રજા માગી. વિશાળ હૃદયના ખાંસાહેબે મંજુરી આપી. લગ્ન સમયે નાનકી કેવળ ચૌદ વર્ષની હતી! ખાંસાહેબે દીકરીની ખુશી ખાતર યુવાનના પરિવારની વિનંતી માન્ય કરી તેને સનાતન ધર્મ સ્વીકારવાની રજા આપી. કેવળ અઢાર વર્ષની વયે આ યુવતિને પુત્ર રત્ન લાધ્યું..***
વર્ષો વિત્યાં. કલા સંપાદન કર્યા પિતા-ગુરૂએ રજા આપ્યા બાદ તેમનાં જાહેરમાં કાર્યક્રમો થવા લાગ્યા. પતિ-પત્નીનાં સંયુક્ત કાર્યક્રમોમાં જુગલબંધી થવા લાગી. શ્રોતાઓ અને વિવેચકોનાં ટોળાં તેમની સંગીત સભામાં હાજરી આપવા લાગ્યા. કાર્યક્રમના અંતે સૌથી વધુ વાહ વાહ થઈ હોય તો પત્નીની. એવું નહોતું કે તેના પતિમાં પ્રતિભાની કમી હતી. બન્નેની કલા પૂનમના ચંદ્ર જેવી પ્રકાશતી હતી. ફેર હોય તો એટલો કે પત્નીની કલા શરદ પૂર્ણિમાના ચંદ્રની પૂર્ણ કળામાં ઓપતી હતી. તેના અપૂર્વ પ્રકાશમાં શ્રોતાસાગર અભિભૂત થઈ આનંદની પ્રચંડ ભરતી દ્વારા હ્રદયમાં હર્ષ પ્રદર્શિત કરતો હતો. પત્નીનું સંગીત સાંભળ્યા બાદ સભાગૃહમાંથી બહાર નીકળનારાઓનાં હૃદયમાંથી જાણે ચરમ તૃપ્તિના શબ્દો નીકળતા હતા, ‘પિતા! આજે કાળના સર્વ સંતાપ શમી ગયા!”
પત્નીને મળતી અભૂતપૂર્વ પ્રસિદ્ધીને કારણે પતિના મનમાં ઈર્ષ્યા થઈ. આમ તો બન્નેના સંયુક્ત કાર્યક્રમ સુવર્ણ અને સુગંધના સમન્વય જેવા હતા, પણ પતિને તે રૂચ્યા નહિ. પુરુષપ્રધાન સમાજમાં કયો પતિ સહન કરે કે તેની પત્ની તેના કરતાં તસુ ભર સુદ્ધાં ઉંચી ગણાય? આમ જોવા જઈએ તો સાચા કલાસાધકમાં અભિમાનનો જરાય અંશ નથી હોતો. કોઈ ભાવના હોય તો તે કેવળ પરસ્પર આદર અને નમ્રતાની. અહીં પતિનો પ્રત્યક્ષ અણગમો, તીક્ષ્ણ બાણ જેવાં તેમનાં વચન અને નાની નાની બાબતોમાં પત્ની પર ઉતરી પડવું – આ બધું જોઈ પત્નીએ નક્કી કર્યું કે લગ્નજીવન સુખી કરવું હોય તો તેણે જાહેરમાં કાર્યક્રમ ન આપવો. તેણે પતિને એવું જણાવીને મા શારદા સામે હાથ જોડીને શપથ લીધી : “આજથી ખાનગી કે જાહેર કાર્યક્રમમાં કદી ભાગ નહિ લઉં.”
પતિ હવે ખુશ હતા! દેશ ભરમાં જુદી જુદી જગ્યાએ કાર્યક્રમ આપવા જવા લાગ્યા. તેમનું સંગીત વખણાયું અને તેમની ખ્યાતિ દેશના સિમાડા પાર કરી ગઈ. વિશ્વભરમાં તેઓ પ્રખ્યાત થયા.
હવે તેમનું જીવન સુખમય થશે! બન્ને એકત્ર થશે અને તેમના સંગીતનો વારસો તેમના પુત્રને આપી આનંદથી જીવન વ્યતિત કરશે, એવું આપને લાગ્યું હોય તો તેમાં નવાઈ નથી. આગળ જતાં મુંબઈની ચિત્રસૃષ્ટી તેમના જીવન પર ચિત્રપટ બનાવશે, તેને નામ આપશે “અભિમાન” અને તેના નાયક – નાયિકા હશે અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી અને સર્વત્ર આનંદ આનંદ પ્રવર્તી રહેશે! વાત બરાબર છે. “અભિમાન” ફિલ્મ તેમના જીવન પર જ બનાવવામાં આવી હતી. ફેર થયો હોય તો કથાના અંતમાં. આગળ જતાં શું થયું તે કહેતાં પહેલાં અત્યાર સુધી કહેલી સત્યકથાનાં પાત્રોનાં સૌનાં નામ જાણીએ:
પિતા : ખાંસાહેબ અલાઉદ્દીનખાન સાહેબ. પ્રખ્યાત મૈહર ઘરાણાંના અધિષ્ઠાતા.
પુત્ર : ખાંસાહેબ અલી અકબરખાન સાહેબ. વિશ્વવિખ્યાત સરોદ વાદક.
દીકરી: મૂળ નામ રોશનઆરા ; લગ્ન બાદ અન્નપૂર્ણા દેવી.
પતિ: પંડિત રવિશંકર. હા, એ જ પંડિતજી જેમની પાસે સંગીત શીખવા બીટલ્સ આવ્યા હતા; જેમની સાથે યેહૂદી મૅન્યુહીન જેવા વિશ્વવિખ્યાત વાયોલિનીસ્ટે જુગલબંધી કરીને ધન્યતા અનુભવી હતી ; જેમને દેશના સર્વોચ્ચ ભારતરત્નના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા!
***
કોઈ કાર્યક્રમમાં ભાગ ન લેવાની પ્રતિજ્ઞા લીધા બાદ અન્નપૂર્ણા દેવીએ પોતાની સાધના ચાલુ રાખી. પિતાનો વારસો ચાલુ રાખવા તેમણે કમર કસી. બીજી તરફ પંડિત રવીશંકરનાં દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાયા. પંડિતજી પોતે સોહામણું વ્યક્તિત્વ ધરાવતા હતા અને સિતારવાદનમાં તેમણે ઉતારેલી સુંદરતાને કારણે ઘણી લાવણ્યવતી લલનાઓનાં સમ્પર્કમાં આવ્યા. કમલા શાસ્ત્રી નામનાં એક નૃત્યાંગના ઉપરાંત અન્ય સ્ત્રીઓ સાથે તેમનાં લગ્નેતર સંબંધ થયાં. આ વાતની જાણ થતાં ૧૯૪૦માં અન્નપૂર્ણા દેવીએ પતિગૃહ છોડ્યું અને પુત્ર શુભેન્દ્ર – શુભ -ને લઈ તેઓ પિતાને ઘેર મૈહર આવી ગયા. જ્યારે તેમને જાણ થઈ કે પતિ કમલાની સાથે રહેવા લાગ્યાં હતાં, તથા અન્ય સ્ત્રીઓને તેમના સંસર્ગથી બાળકો અવતર્યાં હતાં, અન્નપૂર્ણાદેવીએ ૧૯૬૦માં છૂટા છેડા લીધા.
સ્ત્રીઓ સાથેનાં સંબંધો અંગે પંડિતજીએ ખુદ તેમની આત્મકથા ‘રાગ માલા’માં લખ્યું, “I felt I could be in love with different women in different places. It was like having a girl in every port – and sometimes there was more than one!”
અમેરિકામાં તેઓ કાર્યક્રમ આપવા ગયા ત્યારે ન્યુ યૉર્કની કાર્યક્રમ આયોજક સૂ જોન્સ નામની અમેરિકન સ્ત્રી સાથે રહેવા લાગ્યા અને તેમનાથી એક પુત્રી થઈ – નોરા જોન્સ ; જ્યારે તેમના લગ્નેતર સંબંધ બેઉ – કમલા શાસ્ત્રી તથા સૂ જોન્સ સાથે હતાં ત્યારે તેમના કાર્યક્રમમાં તાનપૂરો વગાડવા બેસતાં સુકન્યા નામની પરિણીતા સાથે સંબંધ બંધાયા અને તેમાં પુત્રી જન્મી અનૂષ્કા. સૂ જોન્સે તેમની સાથેના સંબંધનો અંત આણ્યો. પાકટ ઉમરે પહોંચેલા પંડિતજીએ આખરે ૧૯૮૯માં સુકન્યા સાથે લગ્ન કર્યાં.
***
અન્નપૂર્ણાદેવીએ શપથ અનુસાર કદી પણ જાહેર કે ખાનગી કાર્યક્રમ ન આપ્યો. પિતાજીએ બક્ષેલી કળાને જીવંત રાખવા તેમણે શિષ્યો સ્વીકાર્યા અને ઘરાણાંની પરંપરા ચાલુ રાખી. શિષ્યોને સંગીત શીખવતાં, તે ગાઈને. તેમનું વાદ્ય – સૂરબહારનો રિયાઝ તેઓ તેમના બંધ ઓરડામાં એકલાં જ કરતાં. જીવન ખાનગી રાખવા તેઓ ઘરકામ પણ જાતે કરતાં. આમ લાંબા સમય સુધી તેઓ અજ્ઞાતવાસમાં રહ્યા. તેમના શિષ્યો સિવાય તેમના વિશે કોઈ કશું જાણતું નહોતું. જ્યારે પંડિત રવીશંકરે પોતાની આત્મકથામાં તેમના “પ્રથમ પત્ની” વિશે ટીકાત્મક વચનો લખ્યાં ત્યારે પત્રકારો અન્નપૂર્ણાદેવીની શોધમાં નીકળ્યા અને તેમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અેક પત્રકાર લખે છે, “અમે તેમના ફ્લૅટની બહાર પહોંચ્યા અને જોયું તો તેમનાં બારણાં પર પાટિયું હતું. ‘કૃપયા ત્રણ વાર બેલ દબાવશો. જો બારણું ખોલવામાં નહિ આવે તો આપનું કાર્ડ બારણાં પાસે મૂકીને પાછા જશો. આપનો સંપર્ક સાધવામાં આવશે.”
આજની વાત અન્નપૂર્ણા દેવીની છે, એક પારસમણીની. તેમની પાસે તાલિમ લેવા હરિ પ્રસાદ ચૌરસિયા, નિખીલ બૅનર્જી, બસંત કાબ્રા જેવા જે જે સંગીતકારો આવ્યાં, સંગીતના ક્ષેત્રમાં રત્ન બનીને પ્રકાશ્યા.
(વધુ આવતા અંકમાં)
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
માળીયે મુકેલ રતન: અભરામ ભગત
સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ
હું ભાષાજ્ઞ કે. કા. શાસ્ત્રી નથી પણ જે રાઈના દાણા જેટલું જાણું છ એનાથી એટલું તો કઈ સકું કે દુનિયાની બધી ભાષામાં ગદ્ય અને પદ્ય સાહિત્ય નવ રસો – શૃંગાર, હાંસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદભૂત અને શાંત રસ – આધારિત છે. હા, આ નવ માંથી એક કે વધુ રસો એક જ કૃતિમાં વણ્યા હોય એવું બને. હવે જો હું ગુજરાતી ભાષા વિષે કહું તો શિષ્ટ ગુજરાતી ને લોક ગુજરાતીમાં ગદ્ય અને પદ્ય સાહિત્યનાં ખાલી નામ અલગઅલગ હોય છ. શિષ્ટ ગુજરાતીમાં દા.ત., ગદ્ય સાહિત્યમાં વાર્તા, લેખ, નીબંધ, સંકલન, વ. ને લોકબોલીમાં આ હંધાયનું એક જ નામ ને ઈ લોકસાહિત્ય. ઈ જ રીતે પદ્ય સાહિત્યમાં શિષ્ટબોલીમાં ગીતને એના ભાવ અનુસાર સુગમસંગીત, શાસ્ત્રીયસંગીત, ગઝલ, સંતવાણી, હવેલી સંગીત, વ. કે’ તો લોકભાષામાં લોકગીત, હેલો, રામગ્રી, સાખી, દુહા, છંદ, ભજન, ચાળ, મરશિયાં, વ. કે’. ઇથી આગળ, સૌ સાજન ભેગા બેસીને સંગીત સાંભળે તો શિષ્ટભાષી એને ભાવ અનુસાર બેઠક, જલસો, મુશાયરો કે ભજનસંધ્યા એવું ક્યાંક કે’ ને લોકભાષી એને ડાયરો કે; પછી ભલે ઈ લોકવાર્તા, રમુજી વાત્યું, લોકગીત, ભજન, મરશિયાં કે લગનના માંડવે દીકરી વિદાયની વાત્યુંનો હોય. અલબત્ત, આજકાલના બજારુ ડાયરે આમાનાં બેચાર કણ ભેળવીને પકવેલ મઘમઘતી ખીચડી પીરસાય છ કારણ કે સુજાન ડાયરો ઈ માંગે છ.
ભજન ડાયરાના અનુસંધાને જો કઉં તો હું લગભગ જુવાન જ વીજળી-નળ વિનાના કાઠિયાવાડી ગામડાઉમાં થ્યો કે જ્યાં પ્રસંગેપ્રસંગે ભાતીગળ દાજીડાયરા થાતા ને અમે જાતા એટલે ડાયરા મારે હાડે છે, મારા કણે છે. ભજનડાયરે મેં ભવાનભગત, જેઠાબાપા, વલકુબાપુ, કાનજીમા’રાજ, છગનભાઈ કંદોઈ, મુળુભાઈ બારોટ, વ. જેવા ગામના સ્થાનિક ભજનીકુંને ગામને પાદર, સીમમાં સેઢે, રામમંદિરે, રાધામાંના આશ્રમે, ભથેશ્વર મંદિરે, બ્રહ્મચારી બાપુના આશ્રમે ને અંબાઇના ચોકમાં ઘણીવાર ભજનું લલકારતા સાંભળ્યાતા. ઈ જ રીતે ઈ વખતના આકાશવાણીના મોભી ભજનિકુમાં કનુભાઈ બારોટ, માધુભગત જેઠવા, અભરામ ભગત, નારાયણ સ્વામી (શક્તિદાન ગઢવી), દિવાળીબેન ભીલ ને પ્રાણલાલ વ્યાસને પણ રૂબરૂ સાંભળ્યાંતાં. જેને ભજનું ગાતાં હરૂભરૂ મા’ણવાનો મોકો નો’તો મળ્યો એવા કાગ બાપુ, હેમુ ગઢવી, મુગટલાલ જોષી, ઇસ્માઇલ વાલેરા, દીનાબેન પાઠક, પુષ્પાબેન છાયાં, કુંચાલા સાહેબ, વ. ને મેં આકાશવાણી રાજકોટેથી સાંભળ્યાંતાં ને ને બહુ પાછળથી સ્વ. લક્ષમણ બારોટને – ને ખાસ એનું “ધૂણી ર્રે ધખાવી બેલી અમે તારા નામની… –“ યુટ્યુબ પર.
હવે જો ભજનની જ વાતને આગળ ધક્કો મારું તો ગઈ સાલ સાતેક વરસે હું દેશ આવ્યો. આ લાંબા અંતરાલના કારણોમાં મારી દીકરીએ ઘરમાં થાપા પાડીને ઘરનો ઉંબરો ઓળંગ્યો, વચાળે કોવિડ ગરી ગ્યો ને મને ઉંમર ગરવાની ચાલુ થઇ. પણ સાહેબ દેશમાં પગ મૂક્યા પછી તો ગામેગામે ગેલ કરી, જગેજગે જલસો કર્યો, ટેમેટેમે ટેસડો કર્યો ને ટૂંકમાં મારા મલકના માયાળુ માનવીયુંની મીઠપે મોજે દરિયો ભર્યો. એમાં જલસાની એક જગ્યા અમૃતસર કે જ્યાંથી અમે હવાઇમારગે રાજકોટ રાતના નવેક વાગે પુગ્યા ને યાંથી ટેક્ષીમાં મામાને ઘેર જૂનાગઢ જાવા નીકળ્યા. રસ્તામાં ટેક્ષીડ્રાઈવરને ચાની તલપ લાગી એટલે એને જેતપુર બા’ર એક સામિયાણા પાસે ટેક્ષી રોકી ને અમને પણ ચા પીવા ઉતરવાનું એના અંતરથી દબાણ કર્યું કારણ કે ઈ ઘેડનો આયર હતો, અમદાવાદી નહી. અમે ઊતર્યા ને ઈ કાઠિયાવાડી ડાંડા ચાની ચાર ચૂસ્કી મારી પણ એવામાં મેં જોયું તો ઈ સામિયાણા પાછળ તાપણું કરીને પાંચસાત પાકટ ઉંમરના જણ બેઠાબેઠા ઘીમુંઘીમું ક્યાંક ગાતાતા. મેં પાસે જઈને કાન માંડ્યા તો ઈ અભરામ ભગતે ગાયેલ કાગબાપુનું “વડલો કે‘છે વનરાયું સળગી…” ભજન ગાતાતા. પછી તો હું નાનપણના ભજનુંના ડાયરે ખોવાણો ને “ધરા વિણ ધાન ન નિપજે, કૂળ વિણ માડુ ના કોઈ…” એમ જે ભોમકા ઉપર હું ઉભોતો એનો જ પનોતો દીકરો અભરામ ભગત પાંસેઠેક વરસ પછી મચરક દઈને મારામાં બેઠો થ્યો એટલે આજ એની જ વાત હું માંડું છ.
અભરામ ભગતનો જનમ ૨૪-૧૦-૧૯૨૦માં જેતપુરના પરગણા નવાગઢમાં એક ગરીબ કુટુંબમાં થ્યોતો. એનું મૂળ નામ ઈબ્રાહીમ કરીમ સુમરા હતું. એના અબૂ પોલીસખાતામાં નોકરી કરતા ને એની ટૂંકી આવકમાં કટમ્બનો ગુજારો કરવો કપરો હતો એટલે ઈબ્રાહીમને એકાદ ચોપડી ભણાવીને ભણતો ઉઠાડી લીધો. સમો ગળતાં ઈ કામ કરવાની વયનો થ્યો એટલે એને મિલમજૂરની નોકરીએ લગાડી દીધો. આ નોકરીમાં અકસ્માતે ઈબ્રાહીમનો પગ મશીનમાં આવી ગ્યો ને ઘાનું ઝેર પગમાં ફેલાઈ જાતાં જેતપુરની સરકારી હોસ્પિટલમાં એનો ઈ પગ કાપી નાખવો પડ્યો. ગરીબી, ભણતરની ખામી, કાયમી પંગુતા ને ગામમાં બેકારી એટલે ઈબ્રાહીમને એના કાકા પોતાને ઘેર પાસેના ખીરસરા ગામે લઈ ગ્યા કે જ્યાં ઈબ્રાહીમના જીવનમાં જબરજસ્ત વળાંક આવ્યો ને જમીન પર ડગલાં ન પાડી સક્તો ઈબ્રાહીમ દુનિયાના ફલક પર દોડવા મંડ્યો ને બુલંદ થઈને ચમક્યો. આનું પાયાનું કારણ ઈ કે ખીરસરામાં દર પૂનમે ભજન યોજાતાં જેમાં ઈબ્રાહીમ મંજીરા વગાડતો. ધીરેધીરે નિયમિત સાંભળેલાં ભજન એને મોઢે થઇ ગ્યાં એટલે ક્યારેક એને ગાવાનો મોકો પણ મળ્યો ને ભક્તિમાં લીન્ન થઇ મીઠી હલકથી કૃષ્ણ ભજન ગાતા ઈબ્રાહીમના અવાજની ખ્યાતિ રાતરાણીની ધમરકની ઘોડે આખાયે પંથકમાં ફેલાઈ ગઈ. પછી એને જૂનાગઢના ભવનાથના શિવરાત્રીના મેળામાં ભજન ગાવા માટે નોતરું મળ્યું. મેળે આવેલ મોટી મેદની એની ગાયકીથી ચકિત થઈ ગઈ ને ભવનાથના શિવમંદિરેથી ફૂટેલ ભજનની સરવાણી ધીરેધીરે સૌરાષ્ટ્રનાં નાનાંમોટાં ગામોમાં ઘોડાપૂરે ફરીવળી જાણે “ભોલે તેરી જટામે બહેતી હૈ ગંગધારા…”
ભજને જેનો દી’ ઉગતો ને આથમતો ઈ ભજનકંઠી ઈબ્રાહીમ સ્વાભાવે અલગારી એટલે ઈ “ભગત” તરીકે ઓળખાણો પણ તળ કાઠિયાવાડમાં ઈબ્રાહીમનું “અભરામ” થઇ ગ્યું ને નવું નામ “અભરામ ભગત” પ્રચલિત થ્યું. કૃષ્ણ ભજનો થકી વૈષ્ણવ સમાજમાં અભરામ ભગતે એક આગવી ઓળખ મેળવી એટલું જ નહીં પણ યશવંત ભટ્ટ, મોહનલાલ રૈયાણી, કનુભાઈ બારોટ ને કાગબાપુ જેવા ઈ વખતના ગુજરાતના મોભી ભજનિકોના હોઠે પણ એનું નામ ચડ્યું. ભજન ઉપરાંત અભરામ ભગત આખ્યાનની કળામાં પણ નિપુણ હતા. નરસિંહ મહેતાનું “કુંવરબાઈનું મામેરું” આખ્યાન એના મોઢે સાંભળવું ઈ એક લ્હાવો ગણાતો. આખ્યાન ઉપરાંત આરાધ, કટારી, પ્રભાતિયા, રામગ્રી, ચાળ, વ. જેવી ભજનની અનેક ગાયકીમાં પણ “ભગતે” ઉસ્તાદી હાંસલ કરીતી. પછી તો અભરામ ભગતની ખ્યાતિ વાયા વિરમગામ થઈને મુંબઈમાં ફેલાણી ને યાં પણ એના શો હાઉસફુલ બન્યા. કોલંબિયા અને એચ.એમ.વી. જેવી નામી કંપનીઓએ બહાર પાડેલ “ભગત”ની ગુજરાતી ને હિંદી ભજનોની એલ.પી. રેકર્ડસ મોટી સંખ્યામાં વીજળીવેગે વેંચાણી. એને હિંદીમાં ગાયેલ સાંઈબાબાનાં ભજનોની રેકર્ડ એટલી પ્રખ્યાત થઈ કે લોકો ઈ જ હોટલમાં જાતા કે જયાં ઈ વાગતી.
વખત વે’તાં “ભગત”ની ભજનગાયકી ભારત ઓળંગીને વિદેશ પુગી ને એમાં નોંધનીય “અમેરિકન સોસાયટી ફોર ઇસ્ટર્ન આર્ટ્સ,” ને “સેન્ટર ફોર ઇન્ટરનેશનલ પ્રોગ્રેસ એન્ડ સર્વિસ” જેવી સંસ્થાઓ ને “ન્યુયોર્ક સ્ટેટ યુનિવર્સીટી”ના શિક્ષણ વિભાગ તરફથી પણ એને આમંત્રણ મળ્યું. એક વરસ હાલેલી આ ભજનયાત્રામાં ન્યુયોર્ક, વોશિંગ્ટન, શિકાગો સહિત અમેરિકાનાં ઘણા શે’રોમાં એના કાર્યક્રમો શ્રોતાઓથી ભર્યાભાદરા રયા. યુ.એસ. ઉપરાંત કેનેડા, યુ.કે., આફ્રિકા અને યુરોપના અનેક દેશોમાં “ભગતે” ભજનજાત્રા કરી. અભરામ ભગતની ટોચે આંબેલ ખ્યાતિની કલગીમાં બે વધુ પીછાં ઈ હતાં કે મહાત્મા ગાંધી એના ચાહક હતા ને એને કાગળ લખીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો’તો. બીજું, ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ના યુધ્ધ દરમ્યાન પોતાની સઘળી આવક “પ્રધાનમંત્રી રાહત ફંડ”માં દાન આપી દેનાર આ અલગારી ભગતને પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ ભજનો ગાવા દિલ્હી તેડાવ્યાતા. એનાં ભજનો સાંભળીને પ્રધાનમંત્રીશ્રીએ એનો રાજીપો કાગળ લખીને વ્યક્ત કરેલ. મજાની વાત ઈ હતી કે ભણતરની રીતે અભણ એવા “ભગત”ની આ વિદેશયાત્રાઓ દરમિયાન ગુજરાત સરકાર તરફથી એના દુભાષીયા તરીકે માહિતી ખાતાના અધિકારી શ્રી પી.એલ. સાધુની નિમણૂંક થઇતી.
વખત વળોટતાં જેતપુર પાસે વડિયા ગામના દરબારે અભરામ ભગતને દીધેલ જમીનમાં મકાન બાંધીને પત્ની હલીમાબાનુ હારે ચૂલો પેટાવીને “ભગતે” પોતીકો સંસાર વસાવ્યો ને નાણાંની રેલમછેલ વચ્ચે સાદું, સાલસ ને સંયમિત જીવન જીવ્યા. અંતે વિધાતાના લેખે ૨૭-૨-૧૯૮૮ના “ભગત” જન્નતજાત્રાએ નીકળી પડ્યા ને આમ ભજનદુનિયા ભોગાવો બની, ભજનાસ્મેથી “ઉમાગૌરી” તારો ખર્યો. અલબત્ત, આજે ઘણા નામાંકિત ગુજરાતી ભજનિકો જેવા કે નિરંજન પંડ્યા, હેમંત ચૌહાણ, ઓસમાણ મીર, ફરીદાબેન મીર, ભારતીબેન કુંચાલા, સંગીતાબેન લાબડીયા ને જીજ્ઞેશ બારોટ,વ. છે પણ માળીયે મુકાયેલ રતનો અભરમ ભગત, કનુભાઈ બારોટ ને ઈ પેઢીના કે એનાથી આગલી કાગબાપુની પેઢીના ભજનિકોના ગળાની કુણાશનો, મીઠપનો, ભજનના અસલી ઢાળનો ને હલકનો ખાડો ભરવા મારા જેવાના કાને ટેવાવું પડશે.
ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સંભારણુ -૧૬ – સુશીમામી અણધારી વિદાય
શૈલા મુન્શા
૨૧ મે ૨૦૨૩ની સવાર હું ક્યારેય નહિ ભૂલી શકું…
જાગવાનો સમય થઈ ગયો હતો, પણ સવારની એ મીઠી નીંદરમાં આંખ ખોલવાનુ મન થતું નહોતું. અપાર્ટમેન્ટની બહાર જ આવેલા શંકરના મંદિરમાંથી પ્રાતઃ આરતીના સૂર રેલાઈ વાતાવરણ ભક્તિમય બનાવી રહ્યાં હતાં અને અચાનક ફોન રણક્યો…
જોયું તો સમીત, મારા દીકરાનો ફોન હતો. વહેલી સવારે એનો ફોન જોતાં જ મનમાં ફાળ પડી! “મમ્મી એક દુઃખદ સમાચાર છે” સાંભળીને જ એક ક્ષણમાં કેટલા વિચારો અને ધ્રાસ્કો.. “તેં દેસાઈ કઝીનમાં મેસેજ નથી જોયો?? સુશીમામીનુ અવસાન થયું છે!” મારો શ્વાસ, કાન, મન બધું જાણે સ્થગિત થઈ ગયું, સમીત કાંઈ બોલતો રહ્યોને દુનિયા જાણે થંભી ગઈ! છેવટે કાને એટલું જ સંભળાયું “મમ્મી, મમ્મી શાંત થા, ઊંડા શ્વાસ લે” શરીર થરથર કાંપતું હતું અને બોલવા માટે શબ્દો….
થોડીવારે કળ વળી અને સમીતને પૂછ્યું પણ એને વધારે કાંઈ ખબર નહોતી. ફક્ત રાતે એટલે કે વહેલી સવારે સુશીમામીનું અવસાન થયું એટલી જ વિગત જાણતો હતો.
સુશીમામી પહેલીવાર જ્યારે કલકત્તાથી ગુજરાતી મંડળ તરફથી નૃત્યનાટિકાનો પ્રોગ્રામ લઈ મુંબઈ આવ્યા ત્યારે મળી હતી. એક જ બિલ્ડીંગમાં રહેતાં ઉમેશ મામાને સુશીમામી પ્રેમમાં હતાં અને ઘરના સહુની સમંતિથી વૈવાહિક જીવન શરુ કરવાના હતાં. મમ્મી સાથે હું અને પારુલ ભાવિ મામીને મળવા તેજપાલ ઓડિટોરિયમ પહોંચી ગયા હતાં. મામા બધા ભાઈ બહેનમાં સહુથી નાના એટલે અમને હમેશ મામા કરતાં મિત્ર વધારે લાગતાં. મામી સાથે પહેલી મુલાકાતમાં જ એક નાસમજ પણ અનોખી લાગણીનો તાર જોડાઈ ગયો.
ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે કોને ખબર? ૧૯૬૮નું વર્ષ અમારા સહુ માટે, મારા નાના નાની માટે કારમો આઘાત લઈ આવ્યું. એકવીસ દિવસના ગાળામાં મારા મોટા માસાને મારા પપ્પા હાર્ટફેઈલથી અવસાન પામ્યા. મમ્મીએ સ્વમાનભેર સ્કૂલની નોકરી કરી અમ ભાઈબહેનોને પાંખમાં લીધાં, પણ એ હિમ્મત નાનાની સોચ અને મામા, મામી માસા, માસી બધાની સહિયારી મદદથી કરી શકી..
જીવન થોડું થાળે પડ્યું અને બીજો વજ્રાઘાત.. એક અકસ્માતમાં મારી મમ્મીનું પણ અવસાન થયું. અમે ભાઈ બહેન સાવ નોધારાં થઈ ગયાં, ફરી નાના નાની એ જ હિમ્મત બની પડખે ઊભા રહ્યાં
મારા લગ્ન કરાવી નાના મારી બહેન અને નાના ભાઈને લઈ કલક્ત્તા ગયાં. સુશીમામી મામી મટી એમનાં પણ મા બની રહ્યાં. એમને એક જ દીકરો પણ પારુલ સ્નેહલના કલકત્તા ગયાં પછી મામા મામી ક્યાંય એકલા ફરવા ગયા હોય એવું મને યાદ નથી. હજુ એટલી કસોટી બાકી હોય તેમ બીજા વર્ષે સુરેશમામાનું અવસાન થયું અને સુશીમામીએ જેઠાણી અને એમના ત્રણ બાળકો સહુને પાંખમાં લીધાં અને જીવનભર સહુની મા બની રહ્યાં!!હજી હમણાં જ મધર્સ ડે ગયો અને ૧૭ મે ૨૦૨૩ અમારી પચાસમી લગ્નતિથિ. મહિના પહેલાં જ હું અને પ્રશાંત કાયમ માટે ભારત પાછા આવ્યાં હતાં. મામી ઘણા ખૂશ હતાં. ચાલો હવે તું પાસે આવી ગઈ એટલે જલ્દી મળવાનુ થશે, લગ્નતિથિએ આશીર્વાદના સંદેશ સાથે કલક્ત્તા આવવાનું ભાવભીનુ આમંત્રણ હતું. કોને ખબર હતી કે એ પળ ક્યારેય નહિ આવે..
મારી કવિતા, ગઝલ, કે વાર્તા; મામી હંમેશ વાંચીને સરસ પ્રતિભાવ આપતાં અને મારા લખાણના મોટા પ્રશંસક હતાં. હજી થોડા મહિના પહેલાં તો મેં મારા સંભારણામાં એક મા ગુમાવ્યા પછી કેટલી માતાનો પ્રેમ મળ્યો એ વાત લખી હતી અને આજે??

ત્રણ દિવસે આજે સુશીમામીની યાદોને વાગોળતાં શ્રધ્ધા સુમન રુપે કશુંક લખવાની હિમંત રહી છું. મનમાં વિચારોનો મહાસાગર ઊમટે છે. શું લખું અને શું નહિ??
સુશી મામીએ જીવનભર નિઃસ્વાર્થભાવે ફકત લાગણી વહેંચવાનુ જ કામ કર્યું છે. કલક્ત્તામાં બાળમંદિરમાં એક સ્વયંસેવક તરીકે સેવા આપવાનું શરુ કરી ત્યાંની કમિટિમાં માનદ હોદ્દા પર વર્ષો કામ કર્યું અને સંસ્થાને આંતરરાષ્ટ્રિય સ્તરે આગળ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો…
આવી નિરાભિમાની કર્મનિષ્ઠ વ્યક્તિની પ્રભુને પણ જરુર હશે એટલે એમને ત્યાં સેવા આપવા બોલાવી લીધાં અને આ એમના સત્કર્મનો જ પ્રભાવ છે કે રાતે બાર વાગ્યા સુધી પતિ, દીકરા, વહુ સાથે ક્રિકેટ મેચ જોયા પછી સાડાબારે જરા શ્વાસમાં મુંઝવણ થઈ અને ગાડીમાં હોસ્પિટલ પહોંચતા પહેલાં સ્મિતવદને, ચહેરા પર પરમ શાંતિ સાથે એક નવી દુનિયાને પ્રેભવાનીપુર ગુજરાતી બાળમંદિર કલકત્તાના પરિવારના શોક સંદેશ સાથે વિરમું છું…
શ્રી ઉમેશભાઈ, વિરલ, નીપા અને પરિવાર જન…
સરળ સ્વભાવ, હસમુખ ચહેરો, એક વિશેષ વ્યક્તિત્વ.. સૌના પ્રિય સુશીબેન.. એક યથાર્થ જીવન જીવી ગયાં. એમનો પુણ્યશાળી જીવાત્મા કર્મનો ક્ષય અને ઋણ મુક્તિની નવી રાહ નવું પ્રારબ્ધ ભોગવવા સમસ્તિ તેજમાં ભળી ગયો. સુશીબેનની કાર્યશીલતા, કાર્ય પ્રત્યેની સુઝ ચીવટ અને નિયમિતતા બાલમંદિર પરિવાર માટે પ્રેરણારુપ છે. બાલમંદિર પ્રત્યેનો એમનો સ્નેહ અને યોગદાન સદાય અમારી સ્મૃતિમાં જીવંત રહેશે.
“મા” ના વાત્સલ્ય અને હૂંફ જીવનના અમૂલ્ય વરદાન છે. કોઈપણ ઉંમરે “મા” નો વિયોગ અસહ્ય છે આ અવસાદની ક્ષણોમાં આપ સર્વે ધૈર્યથી સાથે રહી એમની ચેતનાના આશિષ પામજો, એમની સાથે વિતાવેલાં સુખદ સ્મરણોથી સાંત્વના પામજો.
પરમ કૃપાળુ પરમાત્મા! એક જીવ સાચા અર્થમાં તમારા દ્વારે સજીવ થવા આવી રહ્યો છે એ રાહમાં ઝળહળ પ્રકાશ પાથરો, પરમ શાંતિ અને મુક્તિ આપો…..
બાલમંદિર પરિવારની અંતઃકરણની પ્રાર્થના
ૐ શાંતિ શાંતિ શાંતિ.
૨૦૨૬ ત્રણ વર્ષ પસાર થઈ ગયાં પણ સુશીમામીની યાદ સદૈવ દિલમાં એક અમર જ્યોત રૂપે ઝળહળતી રહેશે. આજે ખરા અર્થમાં હું મા વિહોણી થઈ ગઈ.. બસ એક જ પ્રાર્થના પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને અમને એમના પગલે ચાલવાની પ્રેરણા….
અસ્તુ,
શૈલા મુન્શા તા ૦૫/ ૨૪/૨૦૨૩
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
લાઘવ ક્યાંય નથી કવનમાં
નિર્મિશ ઠાકરભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
કાલિન્દીનાં જલમાં ઝાંકી
પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં કોણે
રચી શબ્દની જાળી ?
લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !કરો કવિને જાણ:
અરથની તાણ રહી છે વરતી !
સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
રાવ હવે ક્યાં કરવી ?
છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !શિર પર ગોરસમટકી (?)
ના એ છલકી કે નવ તૂટી,
કંકર અંદર-બાહર વાગ્યા
કશું ન નીકળ્યું ફૂટી !
નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:લાઘવ ક્યાંય નથી રે કવનમાં !
કાલિન્દીનાં જલમાં ઝાંકી
પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં કોણે
રચી શબ્દની જાળી ?
લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !કરો કવિને જાણ:
અરથની તાણ રહી છે વરતી !
સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
રાવ હવે ક્યાં કરવી ?
છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !શિર પર ગોરસમટકી (?)
ના એ છલકી કે નવ તૂટી,
કંકર અંદર-બાહર વાગ્યા
કશું ન નીકળ્યું ફૂટી !
નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !લાઘવ ક્યાંય નથી રે કવનમાં ! -
એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૧૨ મું – ભીષણ સૌંદર્ય.
પ્રકરણ ૧૧ મું. – અમેરિકાની દીલસોજી થી આગળ
ઝવેરચંદ મેઘાણી
દરીયાપારના પ્રવાસીઓ કેમેરા લઇ લઈને આવ્યા, ભાષણો દઈ ગયા, વિનાશની છબીઓ પાડી ગયા, ઘેર જઈને વર્તમાનપત્રોમાં કોરીયાની દુઃખમય કથની ઉપર કરૂણાના થોડાએક શબ્દો લખી કાઢ્યા–સ્વતંત્રતાના સાથીઓ અમેરિકાવાસીઓની મનોવેદના પ્રગટ થઈ ચુકી ! રે ! જાપાનની તલવારોના ઝખ્મો તો રૂઝાશે, પણ આ સ્વાતંત્ર્યપ્રેમી બંધુજનોની કરૂણા રૂપી ક્રૂર મશ્કરીના ઉંડા ઘા રૂઝાતાં વાર લાગશે. દુશ્મનોને હાથે ગળાં રેંસાય, એમાં શુરવીરોને મન પરમ સુખની મીઠાશ છે, અરેરાટીનો ઉચ્ચાર કર્યા વિના પ્રાણ કાઢી આપવામાં તો એક અપૂર્વ ગૌરવ, અદ્ભુત મહિમા, અને અપાર શોભા ભરેલ છે. કારણ કે શુરવીર એ મરનારાને “બિચારો” કહી અપમાન દેનાર કોઇ ત્યાં નથી હોતું. કોરીયાનું હૈયું હાહાકાર કરી ઉઠતું હશે કે “ઓ પ્રભુ ! મ્હારા મિત્રોથી મને બચાવી લેજે.”
શા માટે આવ્યા હતા આ વિદેશીઓ ? એક પીડાતી પ્રજાની વ્હારે ધાવા ? દુઃખી અને ઝખ્મી બે કરોડ માનવોના મસ્તક ઉપર અનુકમ્પાનાં બે અશ્રબિન્દુ વરસાવવા ? જાલીમ જાપાનને સાવધાન કરવા ? ના, ના. એવી મિથ્યા અનુકમ્પાની ઘેલછા ડાહ્યા ડમરા વેપારીઓને ન શોભે ! પોતાના કિનારાઓને સાચવીને અમેરિકા આનંદભર્યું મ્હાલે છે. દરીયાપારની લહરીઓમાં ન્હાની ન્હાની પ્રજાઓનાં આક્રંદની ચીસો આવીને એને કાને અથડાય છે, પણ સીગારેટ કે નૃત્ય નાટકના તાનમાં બેઠેલા એ વેપારીનાં નેણાં ઘેરાતાં હોય, તે વેળા એ આર્તનાદની એને શી તમા ? એની તંદ્રા ને એનું ઘેન તો ત્યારે જ ઉડે, કે જ્યારે લ્યુસીટેનીઆના બસો ચારસો દેશ–બંધુઓ ઉપર જર્મન પ્રલયનાં મોજાં ફરી વળે !
અમેરિકાવાસીઓ આવ્યા, તે તો પોતાનાં દેવાલયોની, ને પોતાના ધર્મબંધુઓની પાયમાલી સાંભળીને. અમેરિકાના વેપારીઓએ બૂમરાણ કર્યું, તે તો પેલી પોતાની રેલ્વે કંપનીઓના પાટા કોરીયાની ભૂમિ પરથી જાપાને ઉખેડી નાખ્યા એ બળતરાએ. પચીસ પચીસ વરસ થયાં એનાં વિજળીનાં કારખાનાં કોરીયાની અંદર ચાલતાં, એની તમાકુની પેઢીઓ જામી પડેલી, એના નાખેલા નળોમાંથી કોરીયાવાસીઓને પાણી પહોંચતું, એને હાથે કોરીયાનાં જંગી વ્હાણો બંધાતાં, એના સંચાઓ વડે કોરીયાની ખાણોમાંથી સોનું ખેંચાતું, દારૂગોળો એનાં કારખાનામાં તૈયાર થતો. જાપાને આવીને એ બધું અમેરિકાની પાસેથી ઝુંટવી લીધું. પોતાના વેપારીઓને બેસુમાર હક્કો આપ્યા, એની હરીફાઈ સામે અમેરિકાવાસીઓ હાથ ખંખેરી ચાલતા થયા. એ બળતરા અમેરિકાના અંતરમાંથી બોલી રહી છે, કોરીયા માટેની કોઈ અનુકમ્પા નહિ.
વિદેશી મુસાફરો તો મુગ્ધ હતા પેલી ભવ્ય સરકારી મ્હેલ મહેલાતો ઉપર, સરકારે બંધાવેલા બાગ બગીચાઓ ઉપર અને આખા દેશમાં ઠેર ઠેર બંધાવેલી સુંદર સફાઈદાર સડકો ઉપર. પણ ક્યાં બંધાવેલી હતી એ સુશોભિત સડકો ? વસ્તીવાળા પ્રદેશોમાં નહિ, દૂર દૂરના વેરાનમાં. ગામડાનાં ગરીબ કોરીયનો પોતાનાં ગાડાંઓ ખેતરાઉ અને પહાડી રસ્તાઓ ઉપર સુખેથી ચલાવતા, જરૂર જોગો વેપાર કરી આવતા. એને આવા મનોહર રાજમાર્ગોની જરૂર નહોતી. એ નિર્જન રાજમાર્ગો વેરાનની ભીષણતામાં વધારો કરતા હતા. લોકો એ રાક્ષસી સડકોથી ભય પામતાં. હુ હુ હુ હુ કરતી એ સડક કોરીયાનું હૃદય વીંધીને જાણે ચાલી જતી. પ્રજા પળે પળે કાન માંડીને ચમકી ઉઠતી, કે જાણે એ સડકના હૈયામાં દૂર દૂરથી ચાલ્યા આવતા જાપાની સૈન્યના તાલબંધ કદમના ધબકારા સંભળાય છે, સંગીનો ઝબૂકે છે, તલવારો ખણખણે છે, તોપખાનું માર માર કરતું, આકાશ ગજવતું ચાલ્યું આવે છે. સેના ચાલી આવે છે, રસ્તાના મુલકને આગ લગાડતી આવે છે, દેવળો તોડતી, અને લોકો ઉપર ગોળીઓ છોડતી આવે છે. હાય ! એ જીવલેણ સડકો તો જાપાની સેનાને એ રમ્ય ભૂમિ ઉપર છોડી મૂકવા માટે બાંધવામાં આવેલી. એ મહેલ મહેલાતો અને રાજમાર્ગો બાંધવામાં હજારો લોકોને તલવારની અણીએ વેઠે વળગાડેલાં હતાં. એ જમીનો લોકો પાસેથી જબરદસ્તી કરી ઝૂંટવી લેવામાં આવી હતી. કોરીચાની એ શોભાયમાન ને મોહમયી મહેલાતોના પત્થરો, તે પત્થરો નથી, પણ જીવતાં કોરીયાવાસીઓનાં–મરદો, ઓરતો અને બાલકોનાં–શરીરોના ગંજ ખડકેલા છે. પળે પળે એ પત્થરોમાંથી ઝીણું આક્રંદ ઉઠે છે. કેમેરા લઇને છબી પાડવામાં મશ્ગુલ બનેલા વિદેશી મુસાફર એ આક્રંદ ન સાંભળી શકે.
આ બધી કવિતા નથી. ધગેલા મસ્તકની મિથ્યા કલ્પના નથી. કઠોર સત્ય છે. કોરીયાની શોભા વિસ્તારવા જતાં જાપાની સરકારે, એ દેશનું રાષ્ટ્રીય કરજ ૩૬૮,૨૫૬ ડોલર હતું, તે વધારીને પર,૪૬૧,૮૨૭ ડોલર જેટલે પહોંચાડી દીધું છે. અને વાર્ષિક કર વેરો સને ૧૯૦૫ માં ૩,૫૧,૯૦૭ ડોલર હતો તે વધારીને ૧૯,૮૪૯,૧૨૮ ડોલર સુધી પહોંચાડ્યો છે. બદસુરત દેશને રમણીય બનાવવા જતાં, દેશનું કરજ એકસોતેતાલીસ ગણું વધારી દેવાય, અને પ્રજા ઉપર સાડાપાંચ ગણો કર ચાંપી બેસાડાય એ કાંઇ સાધારણ દિગ્વિજય ન કહેવાય. ‘મહત્ જાપાન’ કે ‘મહત્ બ્રીટન’ થવું સ્હેલું નથી. લોકોની ખાનગી મિલ્કતો, રે ! ખુદ બૌદ્ધ દેવાલયોની જમીનો ઝુંટવી લેવામાં છાતી કઠણ કરવી પડે છે ! ત્રણ લાખ જાપાનીઓને વેપાર વાણિજ્ય તેમજ સરકારી નોકરીઓ સોંપી દેવામાં બડી હિંમત વાપરવી પડે છે ! જાપાનીઓને માટે જગ્યા કરી દેવા કોરીયાવાસીઓ દેશ છોડી ચાલી નીકળે, મંચુરીયા અને સાઈબીરીયાના બરફની બખોલોમાં ભરાઈ બેસે, તો ત્યાં પણ જાપાની લશ્કર તત્કાળ પહોંચી જાય. કારણ ? સરકાર કહે છે, કે અમારી પ્રજા જ્યાં જાય ત્યાં એનું રક્ષણ કરવાનો અમારો ધર્મ છે ! મહારાજ્યો આમજ બંધાયાં છે. આ રીતે જ બંધાશે.
આજ કોરીયાની પ્રત્યેક બેન્ક ઉપર જાપાની “સલાહકાર” ચડી બેઠો છે. એની સીલક સરકારી બેંકમાં જ રાખવી પડે છે; ને એ સરકારી બેંકની મુન્સફી સિવાય કોઈ બેંક એ સીલકનાં નાણાં પાછાં મેળવી શકે નહિ. બેંકો ઉપર તો શું, પણ પ્રત્યેક કોરીયન શ્રીમંતની છાતી ઉપર અક્કેક જાપાની Steward (નોકર) ચાંપી દેવામાં આવ્યો છે, કે જે ઘરનો હિસાબ રાખે છે, તેમજ નાણાં પ્રકરણી સલાહ–સૂચના કરે. સરકારના નીમેલા આ સલાહકારની પરવાનગી વિના કોરીયાના શ્રીમંત કશું ખર્ચ કરી શકે નહિ. એ કાયદો તોડનારની મિલ્કત તત્કાળ જપ્ત થાય. એક શ્રીમંતે ચીનની અંદર કોરીયાના તરૂણોને શિક્ષણ દેવાની અભિલાષાએ પેકીંગની અંદર એક શાળા ઉઘાડી. સરકારી અમલદારે એના ઉપર કાવતરાંનો આરોપ મૂક્યો, એની મિલ્કત જપ્ત કરી. ચીનાઈ સરકાર એક સખૂન પણ ન ઉચ્ચારી શકી. બીજા એક ગૃહસ્થે સરકારી બેન્કમાં મૂકેલાં પોતાનાં નાણાંમાંથી એક લાખ સીક્કા ઉપાડવાની પરવાનગી માગી. સરકારે ના પાડી. એણે જીદ કરી. સરકારે એની આખી ઈસ્કામત જપ્ત કરી. કારણ ? એ બદમાશ સરકારની સામે કાવતરું રચતો હતો !


આવતા અંકેઃ પ્રકરણ ૧૩ મું – સુધારાની માયાજાળ, અને છેલ્લી તૈયારી.
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
