-
હાર્પ : આઇરિશ વીણા
માહિતી જંક્શન
વિશાખા મોઠિયા
એક એવા વાજિંત્રની વાત કરવાની છે જેનું સ્થાન રાષ્ટ્રધ્વજમાં પણ રહી ચુક્યું છે. જે આજે પણ રાષ્ટ્રધ્વજની સાથોસાથ પાસપોર્ટ, સીલ – સિક્કા, આર્મી કોટ, સરકારી કચેરીઓ તેમજ તેના ડોક્યુમેન્ટ પર પણ જોવા મળે છે. આ વાદ્ય ~ વાજિંત્ર વગાડનાર સંગીતકારોને કાયદાકીય રક્ષણ પૂરું પાડવામાં આવતું હતું તેમજ શાહી દરબારોની શોભા વધારતું. તો ચાલો જાણીએ, પ્રાચીન વાજિંત્ર એવા હાર્પ વિશે સાથે જાણીશું તેનો પરિચય, ઇતિહાસ, તેની બનાવટ તેમજ વિશેષ બાબતો વિશે.

હાર્પ એ તંતુવાદ્યની શ્રેણીમાં આવતું ત્રિકોણાકાર વાજિંત્ર અથવા તો T શેપ વાજિંત્ર છે. તે પ્રાચીન આયર્લેન્ડનું સત્તાવાર રાષ્ટ્રીય પ્રતીક હતું, જેમ આપણે અશોકસ્તંભ છે એવી રીતે. આજે પણ આયર્લેન્ડનાં પાસપોર્ટ, સરકારી દસ્તાવેજો, ચલણી સિક્કા વગેરેમાં હાર્પનું ચિહ્ન જોવા મળે છે. હાર્પનું મૂળ આઇરિશ નામ clairseach – ક્લારશાખ હતું. સ્કોટલેન્ડમાં તે clarsach – ક્લારશાખ તરીકે ઓળખાતું. હાર્પ એ પોતે ફ્રેન્ચ શબ્દ Harpa પરથી આવેલ છે, જે ત્રિકોણાકાર તંતુવાદ્યને દર્શાવે છે. આ ઉપરાંત તે ગેલિક હાર્પ તરીકે ઓળખાતું. અત્યારનું મોડર્ન જમાનાનું હાર્પ કોન્સર્ટ હાર્પ તરીકે ઓળખાય છે.
હાર્પના ઈતિહાસ વિશે જાણીશું.
હાર્પ કેટલું જૂનું છે એ કહેવું અશક્ય છે. પરંતુ મેસોપોટેમિયા અને ઇજિપ્શિયન સભ્યતામાંથી તેના ૫૦૦૦ વર્ષ જૂના ચિત્રો જોવા મળ્યા હતા. આ ઉપરાંત ૮ મી સદીના ખ્રિસ્તિયન ક્રોસના પથ્થરો પર તેમજ એ સમયની મળેલી હસ્તપ્રતો પર તેના ચિહ્નો જોવા મળ્યા હતા. હાર્પનો અર્થ માત્ર તંતુવાદ્ય એટલે કે લાકડાના કોઈ માળખામાં ચાંદી – પિત્તળ અથવા તો ગટ (પ્રાણીઓનાં સુકાયેલા આંતરડા) તાર ગોઠવેલા હોય એમ થતો હતો. હાર્પની કોઈ ચોક્કસ વ્યાખ્યા કે અર્થ નહોતો આવ્યો. લગભગ મોટા ભાગના દેશોની સંસ્કૃતિ તેમજ માયથોલોજીમાં હાર્પનો અલગ અલગ નામ, સ્વરૂપ ~ આકાર સાથેનો સંદર્ભ જોવા મળે છે. ૧૦ મી સદીમાં યુરોપમાં આવા તંતુવાદ્ય જોવા મળ્યા હતા, પરંતુ તે હાર્પ ઓછા અને ગિટાર વધારે લાગતા હતા.
આયર્લેન્ડ કે જેને મુખ્યરૂપે હાર્પનું ઉત્પત્તિ સ્થાન માનવામાં આવે છે ત્યાં, એનું આગમન અગિયારમી સદીની આસપાસ થયું હોય એવું માનવામાં આવે છે. હાર્પ આયર્લેન્ડની સાથે સાથે સ્કોટલેન્ડમાં પણ હતા. આ ત્રિકોણાકાર તંતુવાદ્યનું નામ એ લોકોની સ્થાનિક ભાષામાં પાડવામાં બહુ બધી ગડમથલ જોવા મળી હતી. જ્યાં સુધી હાર્પનું કોઈ ચોક્કસ નામ અસ્તિત્વમાં નહોતું આવ્યું, ત્યાં સુધી તેના માટે cruit અને crott જેવા નામો સજેસ્ટ કરવામાં આવ્યા હતા, કારણકે આ બંને નામો તંતુવાદ્ય સાથે જોડાયેલા હતા. પરંતુ આ બંને નામોમાંથી એકપણ નામ આ ત્રિકોણાકાર તંતુવાદ્યને ફીટ બેસતું નહોતું, કારણ કે cruit અને crott જેવા નામો ચાર બાજુવાળા ચતુષ્કોણ તંતુવાદ્ય સાથે વધુ સંકળાયેલ હતા. પરંતુ જ્યાં સુધી હાર્પનું કોઈ ચોક્કસ નામ નહોતું આવ્યું, ત્યાં સુધી તે cruit તરીકે ઓળખાતું હતું. ૧૨ મી સદીથી તેને સત્તાવાર રીતે આયર્લેન્ડનું રાષ્ટ્રીય પ્રતીક જાહેર કરવામાં આવ્યું હતું. ૧૩ મી સદીના આયર્લેન્ડના રાષ્ટ્રધ્વજમાં બ્લુ રંગના બેકગ્રાઉન્ડ પર કેન્દ્રસ્થાને ચાંદીના તારવાળું સુવર્ણ હાર્પનું ચિહ્ન રાખવામાં આવ્યું હતું. આ સમયગાળામાં હાર્પ અને તેના સંગીતકારો (harper કે harpist) આયર્લેન્ડના ગેલિક સમાજમાં પ્રમુખસ્થાને હતું.
૧૩ મી સદીમાં આ ત્રિકોણાકાર તંતુવાદ્યનું ફ્રેન્ચ શબ્દ Harpe પરથી Harp – હાર્પ નામ જાહેર કરવામાં આવ્યું. ૧૪ મી સદીમાં, હાર્પ આયર્લેન્ડમાં તેના આઇરિશ નામ Clairseach – ક્લારશાખ તરીકે ઓળખાયું અને સ્કોટલેન્ડમાં Clarsach – ક્લારાશાખ તરીકે ઓળખાયું.
૧૨ મી સદીથી આ ત્રિકોણાકાર તંતુવાદ્યનો સુવર્ણકાળ શરૂ થયો. આયર્લેન્ડમાં વસતા ગેલિક સભ્યસમાજની સંસ્કૃતિમાં હાર્પ અને તેના સંગીતકારો (હાર્પર કે હાર્પિસ્ટ) પ્રમુખસ્થાને હતા. આપણે જેમ હરખના પ્રસંગમાં ઢોલ વાળાને બોલાવીએ તેમ ગેલિક લોકો પણ કોઈપણ પ્રકારની ઉજવણી વખતે હાર્પ વગાડવાવાળાને બોલાવતા. બાળક જન્મ (છઠ્ઠી), લગ્ન પ્રસંગ, યુદ્ધમાં જતી વખતે, યુદ્ધ પછી વિજયરેલી તેમજ ધાર્મિક તહેવારો તેમજ સામાજિકમાં કાર્યક્રમોમાં હાર્પ વગાડવામાં આવતું. કોઈના મૃત્યુ વખતે પણ સાંત્વના આપવા એને લાગતું સંગીત વગાડવામાં આવતું. પ્રસંગને અનુરૂપ પ્રેમ, આનંદ, ઉત્સાહ, ભક્તિ, પ્રેમ, વિરહ વગેરેની ધૂન વગાડીને કલાકારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતા.
હાર્પ વગાડનારાઓ તારોમાંથી સુરો રેલાવીને શાહી દરબારોની શોભા વધારતા. તેઓ હાર્પ વગાડતા વગાડતા પૌરાણિક કથાઓ – વાર્તાઓ કહેતા, ગીતો તેમજ કર્ણપ્રિય સંગીતની ધૂનો રેલાવતાં. રાજાઓના દરબારમાં આ કલાકારોનું સ્થાન વિદ્વાન કક્ષાનું રહેતું; તેમજ તે બારોટ તરીકે પણ ભૂમિકા ભજવતા. હાર્પર એવા એકમાત્ર સંગીતકારો (કલાકાર) હતા, જેને મનોરંજક તરીકેનો સ્વતંત્ર કાનૂની દરજ્જો મળેલો હતો. કલાકારોના નખને પણ કાયદાકીય સુરક્ષા આપવામાં આવતી; આપણે જેમ વીમો ઉતરાવીએ એમ. નખને સુરક્ષા એટલા માટે આપવામાં આવતા કારણ કે હાર્પના તારો વગાડીને નખો તૂટી જતાં. હાર્પ સંગીતકારો ને કેટલાય વર્ષો સુધી તેને વગાડવાનો અભ્યાસ કરવો પડતો તેમજ તાલીમ લેવી પડતી. હાર્પ કલાકારોને રાજાના દરબારમાં એક પગારદાર કલાકાર તરીકે રાખવામાં આવતા. સન ૧૫૪૧માં જ્યારે હેનરી આઠમો આયર્લેન્ડનો રાજા ઘોષિત થયો ત્યારે તેણે હાર્પ પર તાજ પહેરેલો હોય (crowned harp) એવા સિક્કાઓ બહાર પાડ્યા હતા.
૧૬ મી સદીમાં આયર્લેન્ડ પર બ્રિટીશરો દ્વારા આક્રમણ બાદ ત્યાંની પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. હાર્પ એ આયર્લેન્ડની સંસ્કૃતિનું તેમજ રાજકીય દૃષ્ટિએ સૌથી મહત્ત્વનું પાસું હતું; એક ગૌરવ હતું. દુશ્મન લોકો માટે હાર્પ એ ખતરા સમાન હતું. આથી આયર્લેન્ડ પર કબજો જમાવતાની સાથે જ રાણી એલિઝાબેથ પ્રથમે હાર્પ સંગીતકારોને બંધી બનાવી લીધા હતા અને એ લોકોને ફાંસી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઘણાંખરા હાર્પ પણ સળગાવી દેવામાં આવ્યા હતા. આ બ્રિટીશરો હાર્પ સંસ્કૃતિને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં માગતા હતા; એની ઓળખ નષ્ટ કરવા માંગતા હતા. હાર્પ વગાડવા અને તેના ઉત્પાદન પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જેટલા હાર્પ કલાકારો બચ્યા હતા તેને માટે તો જાણે રોજીરોટી તેમજ આત્મગૌરવ છીનવાઈ ગયું હતું. આથી એ લોકોએ પોતાની કલાને બચાવવા મજબૂરીના માર્યા અન્ય શહેરોમાં સ્થળાંતર કરવું પડ્યું હતું. ત્યાં આ લોકો અલગ અલગ સ્થળે વિચરણ કરીને આ સંગીતકારો હાર્પ વગાડીને પોતાનું ગુજરાન ચલાવતા. ધનિક ઘરોમાં હાર્પ સંગીત શીખવવા જતા. નવી ધૂન – ગીત બનાવીને લોકોનું મનોરંજન કરીને પૈસા કમાતા. આવા કપરા સમયમાં પણ એ વખતના પ્રખ્યાત તેમજ પ્રખર હાર્પ કલાકાર Turlough O’ Carolan એ નવું સંગીત કંપોઝ કરવાનું શરૂ રાખ્યું. હાર્પનો આવો કપરો સમયગાળો લગભગ ૧૬ મી થી ૧૯ મી સદી સુધી ચાલ્યો.
૧૯૬૦થી આ આઇરિશ વીણા – હાર્પનો જાણે પુનર્જન્મ થયો હોય તેમ ફરી પાછું આયર્લેન્ડ માં ઉદ્ભવ્યું. પરંતુ હવેનું આ હાર્પ થોડાંક ફેરફારો સાથે આધુનિક સ્વરૂપમાં હતું. Celtic – કેલ્ટિક હાર્પના સ્થાને આધુનિક જમાનાનું કોન્સર્ટ હાર્પ આવ્યું હતું. હાર્પ સંગીતકારો તેમજ શીખાનારાઓની સંખ્યા પણ દિવસે ને દિવસે વધવા લાગી હતી. આ આધુનિક હાર્પ ફ્રેંચમેન જોન ઈગન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જે હજુ પણ યથાવત છે.
અત્યારે માત્ર ત્રણ પ્રાચીન હાર્પ જ અસ્તિત્વમાં છે, જેને મ્યુઝિયમમાં સાચવવામાં આવેલ છે. આ ત્રણમાં બે સ્કોટલેન્ડના અને એક આયર્લેન્ડનું છે;
ક્વિન મેરી હાર્પ, લેમૌટ હાર્પ અને બ્રાયન બોરું હાર્પ. આયર્લેન્ડનું બ્રાયન બોરું હાર્પ(૧૪ – ૧૫ મી સદીનું) ડબલિનની ટ્રિનિટી કોલેજની લાઇબ્રેરીમાં સાચવવામાં આવ્યું છે.
હાર્પનું વર્ણન
હાર્પ એ ત્રિકોણાકાર તંતુ વાદ્ય છે. દેખાવમાં આડા ત્રિકોણ જેવું લાગે છે. ઊભો ભાગ સ્તંભ જેવો હોય છે. તેની સાથે એક પોલું સાઉન્ડ બોક્સ જોડાયેલું હોય છે જેમાં તાર ~ તંતુ ફીટ કરવામાં આવેલા હોય છે. પ્રાચીન હાર્પમાં ચાંદી – પિત્તળનાં બનેલા તારનો ઉપયોગ કરવામાં આવતો. અત્યારના આધુનિક હાર્પ માં નાયલોન, અન્ય ધાતુ તેમજ અમુકમાં તો એનિમલ ગટ (પ્રાણીઓનાં સુકાયેલા આંતરડા) તારનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારના આધુનિક હાર્પમાં ૪૭ તંતુઓ જોવા મળે છે, જેમાં એ તંતુઓ અમુક સંખ્યામાં A, B, C ગ્રુપમાં વિભાજિત હોય છે અને એ બધાય ગ્રુપ અલગ અલગ રંગોથી રંગવામાં આવેલા હોય છે. સાઉન્ડ બોક્સનો ઉપરનો વળાંકવાળો ભાગ ગરદન તરીકે ઓળખાય છે જ્યારે નીચેનો ભાગ નીચે તરફ સીધો ઢળતો હોય છે. સાઉન્ડ બોક્સના ઉપરના ગરદનવાળા ભાગ પર સાઉન્ડ પીચ બદલવા માટેના લેવર બટન આવેલા હોય છે જેનાથી સાઉન્ડ પીચ એડજેસ્ટ થાય છે – તીવ્ર અને કોમળ. સાઉન્ડ બોક્સની નીચે પેડલ ફીટ કરવામાં આવેલ હોય છે. અત્યારે જે હાર્પ વગાડવામાં આવે છે તે કોન્સર્ટ કે લેવર હાર્પ હોય છે. પ્રાચીન હાર્પ કલાકારો તેના નખોથી વગાડતા જ્યારે અત્યારનું હાર્પ કલાકાર નખ પર કવર (ફિંગર પિક્સ) પહેરીને વગાડે છે.
વિશેષ બાબતો
- હાર્પ આયર્લેન્ડ સિવાય યુરોપ, મેક્સિકો, સ્પેન, આફ્રીકા, બર્મા વગેરે જેવા દેશોમાં પણ પ્રખ્યાત થયું હતું, પરંતુ તેનો દેખાવ અને નામ અલગ હતા.
- ભારતમાં હાર્પ ‘સ્વરમંડળ’ તરીકે ઓળખાય છે. જે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, સ્વર્ગનાં ગંધર્વો દ્વારા વગાડવામાં આવતું.
- આજે પણ આયર્લેન્ડના રાષ્ટ્રીય પ્રતીક તરીકે હાર્પ યથાવત્ છે. આયર્લેન્ડના સિક્કાઓ, પાસપોર્ટ, સરકારી સીલ, સરકારી દસ્તાવેજો વગેરે પર તેનું ચિહ્ન જોવા મળે છે.
- વર્ષ : ૨૦૧૯ આઇરિશ હાર્પને યુનેસ્કો દ્વારા Intangible Cultural Heritage (અમૂર્ત સાંસ્કૃતિક વારસો)ની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું.
સુશ્રી વિશાખા મોઠિયાનો સંપર્ક vishakhawriter@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ખાતરનો અસંતુલિત ઉપયોગ ખાતર ઉપર દિવેલ સાબિત થશે
નિસબત
ચંદુ મહેરિયા
જૂનનો આખો મહિનો લગભગ કોરોધાકોર ગયો છે. છેક અખાત્રીજથી ખેતર ખેડી આંખોનું નેજવું કરી મેહુલિયાની રાહ જોતો જગતનો તાત ચિંતામાં છે. આકાશી ખેતી પર નભતા કે સિંચાઈ પર જીવતા કિસાનનું જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. એટલે તે ગમે તેટલી મહેનત કરે તો પણ તેને વળતરમાં ઘણીવાર ઘણીબધી નિરાશાઓ સાંપડે છે. વાવેતર થઈ ગયું છે. ખાતર અપાઈ ગયું છે. પણ પાણી ક્યાં? ખાતર-પાણી ભલે સાથે બોલાય પણ સાથે મળે જ તેવું ન પણ બને. આ વરસનું ચોમાસું સામાન્ય રહેશે અને દર વરસ કરતાં થોડો ઓછો વરસાદ વરસશે એવી આગાહીઓ વચ્ચે ખેડૂત જીવે છે.
બિયારણ, ધરુ, છોડ, રોપો, ખાતર, પાણી, દવા એ ખેતી માટેના કિસાનના કેટલાક સાધનો છે. આમ તો ખેતીમાં બધાનું સરખું મહત્વ છે પરંતુ ખાતરનું મહત્વ સવિશેષ છે. સાર્થ ગૂજરાતી જોડણીકોશ મુજબ ખાતર એટલે ખેતર સુધારવા સારુ તેમાં નખાતાં છાણ, કાંપ, લીંડી વગેરે પદાર્થો, તેવો બીજો રસાયણી પદાર્થ.બીજા અર્થમાં ખેતરની જમીન કે માટીમાં પાકના બિયારણ, ધરુ કે છોડને પોષક તત્વોનો પુરવઠો પૂરો પાડતો કુદરતી કે કૃતિમ મૂળનો કોઈ પદાર્થ. જોડણીકોશના અર્થ મુજબ અગાઉ પાકને માત્ર છાણિયું ખાતર જ આપવામાં આવતું હતું. પરંતુ અનાજની અછતમાંથી બહાર આવવા સર્જાયેલી હરિયાળી ક્રાંતિ દરમિયાન વધુ ઉપજ મેળવવા રાસાયણિક ખાતરનો ઉપયોગ થવા માંડ્યો. તેના કારણે અનાજના ઉત્પાદનમાં દેશ આત્મનિર્ભર જ ન બન્યો નિકાસ કરતો પણ થયો. જોકે આજે તો રાસયણિક ખાતરોનો અસંતુલિત અને અતિરેકી ઉપયોગ થઈ રહ્યો છે. જે નુકસાનકારક છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી સરકારે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ ૧૯૫૫ હેઠળ ખાતરને આવશ્યક વસ્તુ જાહેર કરી છે. ૧૯૭૩ અને ૧૯૮૫ના બે આદેશોથી ખાતરનું વેચાણ સુનિશ્ચિત કરવાના રાજ્ય સરકારોને અધિકારો આપેલા છે. ભારત સરકાર ખેડૂતોને ખેતી પરવડે તે હેતુસર ખાતર પર સબસિડી આપે છે. યૂરિયા ખાતરની ૪૫ કિલોની થેલી જે ખેડૂતોને આશરે રૂ. ૨૬૦ થી ૨૮૦માં પડે છે તેની વાસ્તવિક કિમત લગભગ રૂ.૨૫૦૦ થી ૨૮૦૦ હોય છે. એટલે એક થેલીએ સરકાર આશરે રૂ. ૨૫૦૦ ની સબસિડી આપે છે. આ વરસના ખરીફ કે ચોમાસુ પાક માટે જ ખાતરની સબસિડી રૂ. ૪૧,૫૩૪ કરોડ નક્કી કરી છે. દર વરસે સરકાર ખાતરની સબસિડી પેટે જ ખેડૂતોને રૂ. ૨ લાખ કરોડ આપે છે.
૨૦૧૦ના હુકમથી સરકારે પોટેશિયમ અને ફોસ્ફરસ ખાતરના ઉપયોગ પર નિયંત્રણો લાદ્યા છે. પરંતુ તેમાંથી યૂરિયાને બાકાત રાખ્યું છે. એટલે ખેડૂતો યૂરિયાનો અસંતુલિત, આડેધડ અને અત્યાધિક ઉપયોગ કરે છે. કૃષિ નિષ્ણાતોના મતે ખેડૂતના ખેતરમાં જે છોડ કે બિયારણ વાવ્યું હોય તેને માટે જરૂરી ત્રણ પોષક તત્વો નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમનો ૪: ૨: ૧ ના પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ પરંતુ ખેડૂતો સામાન્યત: ૧૧:૪:૧ના પ્રમાણમાં આ તત્વોનો ઉપયોગ કરે છે. ખાતરનો ૧/૩ હિસ્સો જ છોડ અવશોષિત કરે છે. બાકીનો વેડફાય છે. એટલે ખાતરના પ્રમાણમાં સંતુલન જરૂરી છે.
ખાતરનો મોટો જથ્થો સરકારે બીજા દેશોમાંથી આયાત કરવો પડે છે. તેમાં કિંમતી વિદેશી હુંડિયામણ વપરાય છે. વળી ખાતર પર સબસિડી મળે છે.એટલે સરકારને મોટો ખર્ચ વેઠવો પડે છે. બીજી તરફ કિસાનો સસ્તું મળેલું ગણીને જરૂર કરતાં વધુ ખાતર વાપરે છે. ખાતરના અસંતુલિત ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. પ્રદૂષણ વધે છે. ખાતર બનાવતા યંત્રોમાંથી નિકળતો ઝેરી કચરો પાણી અને હવાની ગુણવત્ત્તા બગાડે છે. માનવ આરોગ્ય પર પણ તેની અસર પડે છે. એમોનિયાના સંપર્કથી દમ અને શ્વસનસંબંધી બીમારી થઈ શકે છે.યૂરિયાનો વધુ ઉપયોગ પાકને ફાયદાને બદલે નુકસાન કરે છે. ખાતરના વધારે ઉપયોગથી પોષક તત્વોમાં અસંતુલન થાય છે. માટીની ગુણવત્તામાં ઘટાડો થાય છે. તેના લીધે પાકની વૃધ્ધિ અને પેદાશ પર પ્રતિકૂળ અસરો જન્મી છે. ૨૦૧૩-૧૪માં ૩૦.૬ મિલિયન ટન યૂરિયાનો વપરાશ થયો હતો. દસવરસ પછી ૨૦૨૩-૨૪માં ૩૫.૮ મિલિયન મેટ્રિક ટન યૂરિયાનો વપરાશ થયો છે. આ વૃધ્ધિ ખાતરના વધુ ઉપયોગને કારણે છે.
વડાપ્રધાને ખેડૂતોને રાસાયણિક ખાતરોનો વપરાશ અડધો કરવા અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી છે. અગાઉ મન કી બાતમાં પણ તેમણે આ વાત કરી હતી. સરકાર તરફથી આ દિશામાં કેટલાંક પગલાં લેવાઈ રહ્યાં છે.પરંતુ તેની ધારી અસર જોવા મળતી નથી. ખાતરોના અસંતુલિત ઉપયોગને અટકાવવા સરકારે ખેડૂતોને ખાતરના ઉપયોગના પ્રમાણ અંગે અને તેનાં કરતાં વધુ ઉપયોગથી થનારા નુકસાન અંગે જાગ્રત કરવા માટે તથા તેમની સમજ વિકસે તે માટેના કાર્યક્રમો હાથ ધરવા જોઈએ.
ખાતર પરની સબસિડી તેના ઉપયોગમાં જોવા મળતા અસંતુલનનું પ્રમુખ કારણ છે. પરંતુ કોઈ સરકાર ખાતરની સબસિડી બંધ તો શું ઘટાડવા માટે પણ વિચારી શકે તેમ નથી. એટલે તેના વિકલ્પો માટે વિચારવું જોઈએ. એક ઉપાય ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ છે. એટલે ખેડૂતના બેન્ક ખાતામાં સબસિડીની રકમ સીધી જમા કરવી. ખેતરનો આકાર, જમીનની ગુણવત્તા અને સોઈલ હેલ્થ કાર્ડના આધારે આ સંભવ હોવાનું મનાય છે. પરંતુ સરકારે દેશના ૨૭ જિલ્લામાં પ્રાયોગિક ધોરણે આ સ્કીમ દાખલ કરી હતી. પરંતુ તેનો ફાયદો ખેડૂતોને ઓછો અને ખાતર ઉત્પાદક કંપનીઓને વધુ થતો જોવા મળ્યો છે.
સબસિડીવાળા યૂરિયા ખાતરના કાળાબજાર થતા હોવાનું પણ સરકારના ધ્યાને આવ્યું છે. યૂરિયાના ભાવો એટલા ઓછા છે કે ખેડૂતોના નામે કાળાબજારિયા તેની ખરીદી કરી લે છે અને તેનો ઉપયોગ ઔધ્યોગિક રસાયણમાં કરવા દેશમાં અને વિદેશોમાં વેચે છે. તેનો ઉપાય લાભાર્થી ખેડૂતોની ઓળખ વધુ ગંભીર રીતે કરવાની આવશ્યકતા છે. સરકાર પારંપરિક દાણાદાર યુરિયાને સબસિડી માટે યોગ્ય ગણે છે.પરંતુ છોડના પાના પર છાંટવાના પ્રવાહી કે તરલ યૂરિયાને સબસિડી માટે યોગ્ય માન્યું નથી. ખરેખર દાણાદાર યૂરિયા કરતાં તરલ યૂરિયા છોડને માટે વધુ ઉપયોગી છે અને તેનો બગાડ ઓછો થાય છે એટલે સરાકારે નૈનો યૂરિયા અને તરલ યૂરિયા માટે વિચારવું જોઈએ.
ખેતીમાં ખાતરની ભૂમિકા શું અને કેવી છે, તે આરોગ્ય માટે કેટલાં આવશ્યક છે તેની સ્પષ્ટ અને પાકી સમજ ખેડૂતોમાં અને લોકોમાં ઉભી કરવાની જરૂર છે. જૈવિક ખાતરો અને પ્રાકૃતિક ખેતી લાંબાગાળે કેટલી ફાયદાકારક નીવડે છે તે અંગે પણ જાગ્રતિની જરૂર છે. ટકાઉ ખેતી અને વધુ ખેત ઉપજ માટે ખાતરના ઉપયોગમાં સંતુલન જરૂરી છે. નહીં તો ક્યાંક તે ખાતર ઉપર દિવેલ પણ સાબિત થઈ શકે છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કોમેડીમાં અશ્લીલતતાને સ્થાન નથી
મંજૂષા
વીનેશ અંતાણી
આપણે ત્યાં સ્ટેન્ડઅપ કોમેડીનું ચલણ વધ્યું છે, પરંતુ ઘણી વાર એમાં મર્યાદા ચુકાઈ જાય છે. અશ્લીલ અને અશોભનીય રમૂજોથી કોમેડીની કલાને કલંક લાગે છે. આ પરિસ્થિતિ સમાજ અને કલાકારો બંને માટે ચિંતાજનક છે. સ્ટેન્ડઅપ કોમેડીના કલાકારોની જોક્સ અને રજૂઆત પ્રેક્ષકો અને સમાજને વિચલિત કરે ત્યારે કોમેડીનું નૈતિક મૂલ્ય જોખમાય છે.
કોમેડી મહાન અને અઘરી કળા છે, દુનિયાભરમાં અનેક ઉત્તમ કલાકારોએ જૂના સમયથી કોમેડીને ઉચ્ચ કક્ષાની પ્રતિષ્ઠા અપાવી છે, રંગભૂમિની જ વાત કરીએ તો કોમેડીના કલાકારો પ્રેક્ષકોને શુદ્ધ મનોરંજન પૂરું પાડતા હતા. રમૂજ, કટાક્ષ અને અસ્વાભાવિક હાવભાવ સાથે તેઓ સામાજિક અને રાજકીય કડવાં સત્યો તરફ પ્રેક્ષકોનું ધ્યાન ખેંચતા. સામાન્ય વ્યક્તિ સમાજ અને સત્તાધીશોને પૂછવાની હિંમત ન કરે તેવા સવાલો સ્ટેજ પરથી ઉઠાવતા. સંસ્કૃત નાટકોની પરંપરામાં વિદૂષકની ભૂમિકા અગત્યનું સ્થાન ધરાવતી હતી. કેટલાંય નાટકોમાં વિદૂષક નાટકના ધીરોદાત્ત નાયકના સાથીદારનો પાઠ ભજવતા. એ પરંપરા ગુજરાતની ભવાઈ, કર્ણાટકના યક્ષગાન, બંગાળના જાત્રા અને મહારાષ્ટ્રના તમાશા જેવાં ભારતનાં વિવિધ લોકનાટ્યોમાં ઊતરી આવી છે.
ગુજરાતી જૂની રંગભૂમિનાં નાટકોને લોકપ્રિય બનાવવામાં કોમેડીના કલાકારોએ આગવો ફાળો આપ્યો છે. અભ્યાસીઓ કહે છે તેમ વિદૂષકનાં પાત્રો ચાલુ નાટકે રમૂજી કોમેન્ટ કરી નાટકની કાલ્પનિક કથા અને જીવનની વાસ્તવિકતાને જોડતા પુલનું કામ કરતા હતા. તેઓ વિનોદ અને રમૂજપ્રેરક અભિનયથી ટ્રેજેડી અને ગંભીર વિષયનાં નાટકોમાં હળવાશ લાવતા, માનવસ્વભાવની મર્યાદાઓ તરફ આંગળી ચીંધતા અને તત્કાલીન દૂષણો વિશે તંદુરસ્ત ટીકા-ટિપ્પણી કરતા. એ રીતે તેઓ સમાજ સામે અરીસો ધરવાની જવાબદારી અદા કરતા હતા.
મહારાષ્ટ્રના ખૂબ જાણીતા લોકનાટ્ય સ્વરૂપ ‘તમાશા’માં વિદૂષકનું પાત્ર ભજવનાર લોકલાડીલા અભિનેતા દાદૂ ઇંદુરીકર સાથે જોડાયેલા એક સંવાદમાં એક વડીલ એને કહે છે: ‘તું બહુ બોલે છે.’ દાદૂ ઇન્દુરીકરનો જવાબ હતો: ‘કોઈ મારી વાત પર ધ્યાનથી સાંભળશે તો હું ઓછું બોલીશ.’
મરાઠી અને હિન્દી સિનેમાની આંતરરાષ્ટ્રીય હસ્તી અરુણ ખોપકરનું એક સુપ્રસિદ્ધ પુસ્તક છે – ‘ચલત્ ચલચિત્રવ્યૂહ.’ એમાં એમણે સિનેમા અને કળાજગતની અગિયાર પ્રતિભાશાળી વ્યક્તિઓ સાથેનાં એમનાં અંગત સંસ્મરણો લખ્યાં છે. એ પુસ્તક ‘સાહિત્ય અકાદમી એવોર્ડ’થી સન્માનિત થયું છે. અશ્વિની બાપટે આ પુસ્તકનો એ જ નામે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. એ અનુવાદ સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયો છે. આ પુસ્તકમાં અરુણ ખોપકરે તમાશાના જાણીતા કલાકાર દાદૂ ઇંદુરીકરનાં જીવન અને કળા વિશે આત્મીય લેખ મૂક્યો છે. એમણે લખ્યું છે: ‘દાદૂ માત્ર એક વ્યક્તિ ન હતો. એ તો એક પરંપરાનો ધાગો હતો. એના શરીરની એકેક પેશી એ પરંપરાના ચૈતન્યને લઈને આવી હતી.’ એ પરંપરા હતી ‘હાજરજવાબી વિદૂષકની, કસબી રંગલાની અને વિચિત્ર મશ્કરાની.’ દાદૂનો પરિચય આપ્યા પછી તમાશાના કલાકારોની કળાસાધનાની પણ રસપ્રદ માહિતી આપી છે.નાટ્યકલાકારો અને તેમાંય વિદૂષકનું પાત્ર ભજવતા અભિનેતાઓએ એમની કળા ખીલવવા માટે કેવી અને કેટલી મહેનત કરવી પડતી એની પરદા પાછળ રહી જતી વિગતોથી વાંચકોને મહાન પરંપરાની માહિતી મળે છે. આ સંદર્ભમાં એમનું ખૂબ મહત્ત્વપૂર્ણ વિધાન છે : ‘તમાશાનો રંગલો – વેશ ભજવવાવાળો – અભણ હોય તો પણ અશિક્ષિત તો ન જ હોય. ઘણી વાર તો એ સાક્ષરો કરતાં વધારે શિક્ષિત હોય છે.’ ભાષાનો લય, સંગીતના સંસ્કાર, લોકોનું નિરીક્ષણ કરવાની આવડત વગેરે ગુણો એમની કળાને અલગ જ નિખાર આપતા હતા. અરુણ ખોપકરે કહ્યું છે તેમ ચાલુ નાટકે કલ્પનાશીલતા, સમયસૂચકતા અને હાજરજવાબીપણું એમની કળાનાં અભિન્ન અંગ છે. વિદૂષકનું પાત્ર ભજવતા કલાકારના અભિનય અને વિનોદનો છોળ પ્રેક્ષકો સુધી પહોંચે અને એનાં મોજાં પૂરાં ઓસરે નહીં ત્યાં સુધી એ પોતાના ચહેરા પર ગંભીરતા જાળવી રાખતા, તે પણ એમની કલાશિસ્તની મોટી શરત હતી.
દાદૂએ ભજવેલા તમાશાનાં નાટકોના ઘણા રસપ્રદ કિસ્સા ઘણા લોકોને આજે પણ યાદ હશે. અરુણ ખોપકરે એક નાટકનું દૃશ્ય નોંધ્યું છે: ‘એક તમાશામાં દાદૂ રાજાની સતત મશ્કરી કરતો, રેવડી દાણાદાણ કરતો. રાજા ગુસ્સે થઈ તેને ફાંસીની સજા ફરમાવે તો પણ દાદૂ માફી માગતો નથી અને ઉપરથી હસ્યા જ કરે. રાજા ભડકીને એને કહે છે, ‘તું માફી પણ માગતો નથી. કેવો મગરૂર થઈ ગયો છે.’ દાદૂ ત્યારે કહે છે, ‘મહારાજ, માફી માગી હોત તો પણ અપમાન કરતાં માફી વધુ અપમાનજનાક હોઈ શકે. છે.’ રાજા એને એ સાબિત કરવાનું કહે છે. જો દાદૂ એ વાતનું તથ્ય સાબિત કરી બતાવે તો તેની ફાંસીની સજા માફ થશે તેવી શરત રાખે છે. ‘પછીના દૃશ્યમાં રાજા વાંકો વળીને ફૂલ વીણી રહ્યો છે. એણે શાલ લપેટેલી છે. દાદૂ બાગમાં આવે છે, પાછળથી આવીને ધીરેથી રાજાના નિતંબ પર હાથ ફેરવે છે. રાજા ભડકી જઈને ઊભો થાય છે અને તેની સામે ડોળા ફાડીને જોઈ રહે છે. દાદૂ કહે છે, ‘માફ કરજો, મને લાગ્યું કે આ રાણીસાહેબ જ છે.’ માફી માગીને પણ બેવડું અપમાન કરવાની વાત સાબિત થઈ એટલે તેની ફાંસીની સજા માફ કરવા સિવાય રાજા પાસે કોઈ વિકલ્પ જ ન હતો.’
વિકલ્પ તો વિદૂષકનું પાત્ર ભજવતા કલાકાર પાસે પણ હોતો નથી, એણે એની કળાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન એકલા હાથે કરવું પડે છે. નાટકનાં અન્ય પાત્રોને પ્રભાવશાળી સંવાદો, વેશભૂષા અને લાગણીશીલ દૃશ્યોનો આધાર મળે છે, જ્યારે વિદૂષકે પ્રેક્ષકોને હસાવવાના છે, નાટકની કથાનો લય જાળવવાનો છે અને હાસ્ય દ્વારા જીવનનાં ગહન સત્યો પ્રેક્ષકો સુધી પહોંચાડવાનાં છે. દરેક હાસ્યકલાકાર વર્તમાન પરિસ્થિતિઓને સૂક્ષ્મતાથી સમજતો સમાજસુધારક પણ છે. કોમેડીમાં અશ્લીતતાને કોઈ સ્થાન નથી એ સત્ય આજે સ્ટેન્ડઅપ કોમેડીના કલાકારોની સાથે પ્રેક્ષકોએ પણ સમજવાની જરૂર છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
કોણ કરી રહ્યું છે આપણી રક્ષા?
હળવા નિબંધો
માવજી મહેશ્વરી
આ લખું છું ત્યારે એ ભયાનક ઘટનાનો ત્રીજો દિવસ છે. યાદ કરું છું તો શરીર ભયથી કંપી ઉઠે છે. વિચારું છું તો બુદ્ધિ અમુક જગ્યાએ અટકી જાય છે. હું માંડવીથી નીકળ્યો ત્યારે સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે ક્યાંક દૂર એક ચોક્કસ સ્થળે સમય મારા પર તરાપ મારવાની વાટ જોઈ રહ્યો છે. મને મિટાવી દેવા, મારો નાશ કરી નાખવા એક ચોક્કસ તત્વ તખતો ઘડીને બેઠું છે. અને એવી કલ્પના તો હું કરું જ શા માટે? કોઈ પણ ન કરે.
એક ક્ષણ ધીમેધીમે નજીક આવી રહી હતી. જે રસ્તા પરથી હું છેલ્લા બે દાયકાથી સ્કૂટર અને મોટર સાયકલથી જાઉં છું એ રસ્તો મારો હંમેશાનો સાથી રહ્યો છે. ક્યા વળંlક છે, રસ્તા ઉપર ક્યાં કયું ઝાડ છે એ પણ મને યાદ છે. એટલે જ હું હંમેશા આ રસ્તે નચિંત બનીને મુસાફરી કરતો રહ્યો છું. અંધારી રાતે બાઈક ચલાવવી એ મારા માટે નવું નથી. જે રસ્તા ઉપર સતત વાહનો દોડ્યા કરે છે એ રસ્તા પરથી વાહન ચલાવવું મારા માટે પહેલીવારનું નહોતું. મેં મોટાભાગની મુસાફરીઓ ટુ વહીલર ઉપર જ કરી છે. આ દ્વીચક્રિ વાહન મને અતિ પ્રિય છે. મારા બાઈક ઉપર ચડું છું ત્યારે મને અશ્વસવારીનો આનંદ મળે છે. અઢી દાયકામાં ક્યારેય ન વાહને મને પાડ્યો છે ન વાહનને મેં પાડ્યું હોય. તેમ છતાં બાઈક અથડાયું.
વવાર પાટિયું છોડ્યા પછી મારું બાઈક એક લાંબુ ચઢાણ ચડી રહ્યું હતું. એ સમયે સામેથી આવી રહેલી એક ટ્રકને ઓવર ટેઈક કરી બીજી ટ્રક આગળ થઈ. મારી આંખો ચાર હેડાઈટ્સનું અજવાળું ઝીલી શકી નહીં કે પછી હું બેધ્યાન હતો એ યાદ નથી. મને મારી જ સાઈડમાં ઉભેલી પાઇપ ભરેલી ટ્રક ન દેખાઈ. હા, મારા બાઈકની દૂરની બત્તી ચાલુ હોત તો દેખાત પણ એવું ન હતું. અને જયારે ટ્રક અને બાઈક વચ્ચે માત્ર છથી સાત ફૂટનું અંતર રહ્યું ત્યારે મારી જિંદગી સામે મોત ઉભું હતું. મને યાદ છે મેં બાઈકને અટકાવવા શક્ય એટલા જોરથી બ્રેક દાબ્યો. તે છતાં મારું બાઈક ભયંકર ધડાકા સાથે ઉભેલી ટ્રકની અંદર ઘૂસી ગયું. ટ્રકની ચેસીસના એંન્ગલ સાથે મારું હેલ્મેટ અથડાયું. માત્ર ક્ષણનો ખેલ હતો અને પૂરો થયો!
એ મોતની ક્ષણ હતી. મોત જાળ પાથરીને બેઠું હતું. છતાં કોઈકે મને બચાવી લીધો. કોણે બચાવ્યો? હા, બુદ્ધિ એમ જરૂર કહે કે હેલમેટ પહેર્યું હતું એટલે માથું બચી ગયું. પણ પેલું તોતિંગ એંન્ગલ હેલ્મેટ સાથે જ શા માટે ભટકાયું. એના કાચ સાથે અથડાઈ શકતું હતું. કોણે આદેશ કર્યો મને માથું જરા નમાવી નાખવાનું? અને શા માટે કર્યો? હું આ બે પ્રશ્નનો તાગ મેળવવા મથું છું. જે રીતે બાઈક અથડાયું એ રીતે મારા બીજા અંગોને ભયંકર ઇજાઓ થવાની શક્યતાઓ હતી, છતાં હું આઠે અંગે સલામત હતો. અરે! તે પછી હું ચોવીસ કિલોમીટર બાઈક ચલાવીને મારા ઘેર પહોંચ્યો! આજે યાદ કરું છું તો પરમતત્ત્વ સામે માથું નમી જાય છે, જેણે મને નવું જીવન આપ્યું. જીવનમાં અસ્તિત્વનો સવાલ ઊભો થાય એવી ક્ષણનો સામનો થાય ત્યારે જ આ શરીર અને જિંદગીની કિંમત સમજાય છે.
આવું મારી સાથે જ બન્યું છે એવું નથી. બીજા અનેકો સાથે બન્યાનો હું સાક્ષી છું. ભૂકંપ વખતે આખુંય ઘર ધસી પડ્યું હોય, પરિવારમાં પાંચ-સાત જણના મૃત્યુ થયાં હોય, છતાં ઘોડિયામાં સૂતેલાં બાળકને કાંકરીય ન વાગી હોય એવા દાખલા મેં નજરે જોયા છે. ૨૨ જાન્યુઆરી ૧૯૮૪ મનમાડ(મહારાષ્ટ્ર )થી આવી રહેલા વ્હોરા પરિવારને કુકમા ફાટક પાસે અકસ્માત નડ્યો. પરિવારના છ જણ મૃત્યુ પામ્યા અને એની સાથે રહેલા એક વૃદ્ધ અને એક બાળકને ઉજરડોય નહોતો પડ્યો. એ મેં મારી સગી આંખે જોયું હતું. આજે એ બાળક યુવાન હશે. શું એ પણ બચી જવાનો અર્થ શોધતું હશે? જેમ હું શોધી રહ્યો છું.
કુદરત અથવા જેને આપણે ઈશ્વર કહીએ છીએ તે આપણને પેદા કરે છે અને આપણને સતત મોતથી બચાવતા રહે છે. આપણી પડખે જ હોય છે. છતાં એની પ્રતિતિ ત્યારે થાય જયારે મોત આપણને સામે આવી ઊભેલું દેખાય. હા, આવી ક્ષણ આપણને જો કોઈ શીખવાડે નહીં કે આપણે કાંઈ શીખીએ નહીં તો એ તો એ ઘટના માત્ર માત્ર દુર્ઘટના જ હોઈ શકે છે. આવે છે અને પસાર થઈ જાય છે. એ મહત્વની ક્ષણનું કોઈ મહત્વ રહેતું નથી.
આજે હું વિચારું છું કે મને બચાવી લેવા પાછળ કુદરતનો આશય શું હશે? શા માટે મને મરવા ન દીધો? હા, કદાચ કુદરત મારા હાથે હજુ કોઈ એવું કાર્ય કરાવવા ઈચ્છે છે જે મારે જ કરવાનું છે. એ કાર્ય કયું હોઇ એ મારે વિચારવાનું છે. વળી કુદરત આવી ક્ષણ આપીને ચેતવવા પણ માંગે છે કે અટલીવાર લાગે! આ તારું- મારું, આ અહમ્ આ ગુસ્સો આ માલિકીભાવની દોડ બધું એક ક્ષણમાં પૂરું થઈ જાય તેમ છે. યાદ કરું છું તો ગદગદ થઈ જાઉં છું ઈશ્વરની અપાર કૃપા જોઈને! હા, હું સર્જક છું, વિચારક છું, જો આવા સમયે હું વિચારું નહીં તો આ લખવાનો કશો અર્થ નથી. મને ગીતાજીમાં ભગવાન કૃષ્ણે કહેલું વાક્ય યાદ આવે છે. એમણે સમગ્ર માનવજાતને ધરપત આપી છે. યોગ:ક્ષેમમ્ વ્હામ્યહમ્: તારા યોગક્ષેમની, તારી સલામતીની ચિંતા હું કરું છું. જો ભગવાન આપણી સલામતીની બાંયધારી આપતો હોય તો પછી એય મારા નાથ, લે હું રહ્યો તારા શરણે! ઈશ્વરનું જ શરણ આપણું અંતિમ લક્ષ્ય છે. જો કે, એની આપણને ખબર હોતી નથી!!
લ્યો ત્યારે આવજો. રામ રામ.
શ્રી માવજીભાઈ મહેશ્વરીનો સંપર્ક mavji018@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મારા રુદિયામાં આવ્યા હરિ | સાવ પાસે
મારા રુદિયામાં આવ્યા હરિ
રમેશ પારેખ
મારા રુદિયામાં આવ્યા હરિ
મારી સુરતામાં કૂણીકૂણી પીંછી ફરીઘડી હું ફૂંક ને હું જ બંસરી,
ઘડી ડું જ હરિવર નકરી;
મને ખબર્યું ન પડતી ખરીપળ પળમાં હરિવરની વાંચી,
હું ચબરખી ઉકેલાઉ સાચી;
હરિ સોંસરવી હું સંચરી …
સાવ પાસેરક્ષા શુક્લસાવ પાસે, સાવ પાસે છે હવે,
આ હવાને શ્વાસ બનવા દે હવે.
આંખ મીચું કે ઊઘાડું શું મળે ?
સ્વપ્ન કે સહવાસ તારો કે’ મને.
જીભ મુશ્કેટાટ બાંધીને ઊભી,
તું પૂરા કર પાપ, બાકી બે હવે.
કૈં યુગોથી હું મને વાવ્યા કરું,
પાન ક્યાં ‘ને મૂળ ક્યાં? કે’ લે હવે.
હું હસી ‘ને લે, રીઝી પણ, ટેવ વશ,
એ મહોરાંને ઊતારું શે હવે ?
સો વજનિયાં કાંધ પર વે’વારના,
છે મને કીડી વિશે પણ ભે હવે.
લાગતો લૂણો સતત ભીતર બધે,
મોકલ્યા દરિયા છતાં કાં તેં મને. -
કરણ ઘેલો – ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા : પ્રકરણ ૧ લું.

કર્ત્તા : નંદશંકર તુળજાશંકર
એક ભાટના કવિત ઉપરથી જણાય છે કે ગુજરાતના એટલે ગુર્જ્જર દેશમાં સંવત ૮૦ર એટલે ઈ.સ. ૭૪૬ના વર્ષમાં એક શહેર સ્થાપવામાં આવ્યું હતું. મહા વદ સાતમ ને શનિવારે પાછલા પહોરના ત્રણ વાગતે વનરાજનો હુકમ જાહેર થયો. જ્યોતિષ વિદ્યામાં ઘણા પ્રવીણ એવા જૈન માર્ગના જોશીઓને બોલાવી પ્રશ્ન કીધો, તે વખતે તેઓએ શહેરના જન્માક્ષર તપાસીને પ્રકટ કીધું કે ઈ. સ. ૧૨૯૭ માં તે નગરનો નાશ થશે. આ નવા શહેરનું નામ અણહિલપુર પાટણ પાડ્યું. હમણાં તે પાટણ અથવા કડી પાટણ એ નામથી ઓળખાય છે.
પાટણ શહેરને હમણાં જ્યારે જોઈએ છીએ ત્યારે ત્યાં આગળ પૂર્વે એક મોટું તથા આબાદ શહેર હતું, એવી ઘણી જ થોડી નિશાનીઓ માલમ પડે છે. શહેરના કોટની આસપાસ ઊંડું ખોદતાં કોતરેલા આરસના પથ્થરો નીકળે છે. વળી ત્યાંના રજપૂત રાજાઓએ વાવ, કુવા, તળાવ, અને દહેરાં વિગેરે બાંધેલાં તેઓ ઉપર કાળચક્ર ફરવાથી, તથા મુસલમાન લોકોના ધર્માંધપણાથી, તે સ્થળે ઘણીએક લડાઈઓ થવાથી, તથા મરાઠાઓના અજ્ઞાનપણા તથા પૈસાના લોભથી તેઓમાંનાં જે થોડાંએક બચેલાં છે તેઓ ભાંગીતુટી અવસ્થામાં હમણાં નજરે પડે છે; તો પણ એ તો નિશ્ચય કે એ શહેર આજથી સાતસો વર્ષ ઉપર એક મોટા રાજાની રાજધાની હતું. તેના મહત્વ તથા શોભાવિશે ઘણાએક કવિઓ તથા ઇતિહાસકર્તાઓ લખી ગયા છે.
કુમારપાળચરિત્રના લખનારે એ શહેરનું નીચે પ્રમાણે વર્ણન કીધું છે– “અણહિલપુરનો ફરતો ઘેરાવ ૧૨ કોસનો હતો, અને તેમાં ઘાણાંએક દેવાલય તથા વિદ્યાશાળા હતી. ચોરાસી ચકલા,ચોરાસી ચૌટાં, અને તેમાં સોનાના તથા રૂપાના સિક્કા પાડવાની ટંકશાળ હતી. પ્રત્યેક વર્ગના લોકોને વાસ્તે જુદાં ઠેકાણાં હતાં, તેમ જ હાથીદાંત, રેશમનાં કાપડ, હીરા, મોતી, માણેક વિગેરે વ્યાપારની વસ્તુઓ વેચવાની જુદી જુદી જગા હતી, નાણાવટીનું એક જુદું ચૌટું હતું, ન્હાતી વખતે ચોળવાની તથા સુગન્ધિદાર વસ્તુઓનું એક ચૌટું, વૈદોનું એક, કારિગરોનું એક, સોનિઓનું એક, રૂપાના ઘાટ ઘડનારાઓનું એક, ખલાસીઓ, ભાટ તથા વહીવંચાઓનું એક, એ પ્રમાણે જુદાં જુદાં ઠેકાણાં હતાં. નગરમાં અઢારે વર્ણનો વાસો હતો, અને સઘળા લોકો ઘણા સુખી હતા. રાજાના મહેલને લગતાં જુદાં જુદાં ઘણાંએક ઘરો હતાં લડાઈનાં હથિયારોને વાસ્તે, હાથી, ઘોડા, રથને વાસ્તે, તથા હિસાબી મહેતાઓ અને દરબારી અમલદારોને વાસ્તે જુદાં જુદાં ઘર હતાં, પ્રત્યેક જાતની વ્યાપારની જણસને માટે જુદા જુદા ફુરજા હતા. ત્યાં માલની આવક-જાવક તથા વેચાણનું મહેસુલ વસુલ કરવામાં આવતું હતું. માલમાં તેજાના, ફળ, કરિયાણાં, કપુર, ધાતુઓ, તથા તે શહેરની અને બીજાં શહેરોની પેદાશની હરેક કિમતી વસ્તુઓ હતી. આખા જગતનો વ્યાપાર આ શહેરમાં ચાલતો હતો. દરરોજ એક લાખ તનખા મહેસુલ ઉપજતી હતી. જો કોઈ પાણી માગે તો તેને દુધ આણી આપવામાં આવતું. ત્યાં ઘણાંએક જૈનધર્મનાં દહેરાં હતાં; અને એક તળાવને કાંઠે સહસ્ત્રલિંગ મહાદેવનું દેવાલય હતું. ચંપા, નારીએળી, જાંબુડા, ચંદનવૃક્ષ, અને આંબા વિગેરે ઝાડની ઘટા નીચે લોકો આનંદથી ફરતા. એ ઝાડોને વિંટળાયેલા જાતજાતના વેલાઓ હતા, અને તેઓની પાસે અમૃત જેવાં મીઠા પાણીના કુંડ હતા, અહિંઆં વેદ ઉપર વાદ થતો હતો, અને તેથી શ્રોતાજનોને ઉપદેશ થતો હતો. ત્યાં જૈન માર્ગના ધર્મોપદેશકોની, તથા એકવચની અને વ્યાપારના કામમાં પ્રવીણ એવા વ્યાપારીઓની ખેાટ ન હતી. વ્યાકરણશાળા પણ ઘણી હતી, અણહિલપુર માણસનો સાગર હતું. જો એક મહાસાગરનું પાણી માપી શકાય તો જ ત્યાં રહેનારા માણસોની સંખ્યા ગણી શકાય. લશ્કર પણ ઘણું હતું, અને ઘંટવાળા હાથીએાની પણ કાંઈ કસર ન હતી.”
ઉપલા વર્ણનમાં ઘણીએક અતિશયોક્તિ છે ખરી, તો પણ એટલું તો ખરૂં કે, અણહિલપુર પાટણ એકવાર ઘણું દ્રવ્યવાન, મોટું તથા શોભાયમાન શહેર હતું. ઈ. સ.૧૨૯૬ અથવા સંવત ૧૩પર ના આશ્વિન સુદ ૯ એટલે જે દિવસે આપણી વાતનો આરંભ થાય છે, તે દિવસે તે શહેરમાં બ્રાહ્મણવાડો ઘણો રળિયામણો દેખાતો હતો. ઘેરઘેર બારણે તોરણો બાંધેલાં હતાં. આંગણાં આગળ સુંદર રંગના સાથીઆ પુરેલા હતા. લોકો ઘણા આનંદથી હરફર કરતા હતા. બ્રાહ્મણો ધોતીયું, અંગવસ્ત્ર તથા પાઘડી અને કેટલાએક તો ટોપી પણ પહેરીને ઘણી ઝડપથી કાંઈ અગત્યના કામને અર્થે જતા હોય તેમ ચાલ્યા જતા હતા. તેઓએ કેટલી એક મુદત થયાં હજામની સાથે ભારે દુશ્મનાઈ કીધી હોય એવું તેઓનાં મ્હોં ઉપરથી જણાતું હતું. ચોમાસુ બેસવાની થોડી વખત પહેલાં જ્યારે ખેતરોમાં ઘરડા ખુંપરા કાઢ્યા નથી હોતા તે વખતે તે ખેતર જેવાં જણાય છે તેવાં તેઓનાં માથાં, દાહાડી તથા ગાલ હતાં. એવા કેટલાએક બ્રહ્મદેવો તે બ્રાહ્મણવાડામાં એક મોટી હવેલીમાં જતા હતા. તે હવેલી ઘણી મોટી તથા શોભીતી હતી. તેને ચાર માળ હતા, અને તેનો બહારનો દેખાવ ઘણો ભભકાદાર હતો. તેને ફરતો મોટો કોટ હતો; તેની એક બાજુએ એક મોટો દરવાજો હતો, અને તે ઉપર એક મેડી હતી, તેમાં તે દહાડે નોબત તથા શરણાઈ વાગી રહી હતી, દરવાજામાં પેસતાં જ એક ખુલ્લું મેદાન હતું, તેમાં ઘણા જ ખુબસુરત સાથીયા પુરેલા હતા. તે ચોગાનની ચારે બાજુઓ ઉપર ફરતી અડાળી હતી, તેમાં એક તરફની માં હાથી, ઘોડા, રથ વિગેરે વાહનો રાખવામાં આવતાં હતાં, એક તરફ ગામના પટેલ, અને વાણીયા વિગેરે બીજા લોકો જેઓ રાજા પાસે ઈનસાફ માંગવા આવતા હતા તેઓ પડી રહેતા હતા; એક તરફ કારકુન દફતર ઈત્યાદિ હતાં, અને ચોથી તરફની અડાળીમાં દેવડી, એટલે સિપાઈ ચોકીદાર વિગેરેને બેસવાની જગા હતી. એ દેવડીમાં છ ફીટથી ઉંચા, શરીરે મજબુત, વિક્રાળ મ્હોંના, માંજરી આંખના, અને ભુરા નીમાળાવાળા, કરણના વંશના કહેવડાવનારા કાઠી લોકો હતા, શરીરે ઠીંગણા પણ બાંધાદાર અને કમ્મરે તીરકામઠાં બાંધેલા કોળી, કાળા જુસ્સાવાળા, લુંટનો ધંધો કરનારા અને લડાઈમાં બહાદુર એવા ભીલ લોકો; અને ઉપલા લોકો કરતાં નરમાશવાળા ચહેરાના, સુધરેલી સ્થિતિના, તે પણ શૂર રજપૂત સિપાઈઓ બેઠા હતા.
ચોગાનની વચ્ચોવચ હવેલી તમામ પથ્થરની હતી, અને તેની ભીંત ઉપર ઝાડ, કુલ, જાનવરો, માણસો વિગેરે કોતરેલાં હતાં. બારીઓ અગર જો નીચી હતી તો પણ તેઓ આગળ પડતી હતી, અને તેથી જે રવેશ થતા હતા તેની નીચે ટેકા ઘણા જ નકશીદાર હતા. પહેલા ઓરડા – એટલે પરસાળમાં માળ ઉપર જવાની પથ્થરની સિડી હતી, અને તેમાં ઘણાંએક ઘરના ચાકરો બેસી ગપાટા ગપાટા મારતા હતા. એ પરસાળ મુક્યા પછી જે એરડો હતો તેની વચમાં એક મોટો ખુલ્લો ચોક હતો, અને તેની ચારે બાજુએ બેઠક હતી. વચલા ચોકમાં કેળના સ્તંભ દાટેલા હતા, તથા વચમાં વચમાં હજારી રાતા તથા પીળા ગલગોટાના રોપા ખેાસેલા હતા. બેઠકના થાંભલાની વચ્ચે અાંબાનાં પાતરાંનાં તોરણ બાંધેલાં હતાં, અને બીજા કેટલાએક ઠાઠમાઠથી તે જગા એક વૈકુંઠના ધામ જેવી લાગતી હતી. ચોકની મધ્યે એક મોટો કુંડ કરેલો હતો, અને તેની આસપાસ બ્રાહ્મણો ઉઘાડે માથે બેઠેલા હતા. બેઠકમાં એક તરફ તમામ બાયડીઓ અને બીજી તરફ ભાયડાઓ બેઠેલા હતા. ત્રીજી તરફ રાજાના અંગના માણસો અને ચોથી તરફ આડોસીપાડોસીઓ જુદા જુદા વિષયો ઉપર વાત કરી તથા ઘણીએક વખત નીચે જે કામ ચાલતું હતું તે ઉપર ધ્યાન આપી કાળ ગમન કરતા હતા,
તે દહાડે નવરાત્રિનો છેલ્લો દિવસ હોવાથી માતાનો હવન તે વખતે થતો હતો, બ્રાહ્મણો ઘણા જોશથી ચંડીપાઠના મંત્ર ભણતા હતા તેથી આખા દીવાનખાનામાં જે શોર થઈ રહ્યો હતો, જે તલની આહુતિઓ આપવામાં આવતી હતી તે અગ્નિમાં પડતાં જ તડતડ અવાજ થઈ બહાર પડતા હતા, લીલોતરી તથા સહેલથી બળે નહી એવી વસ્તુઓ અગ્નિને અર્પણ કરતાં જ તેમાંથી ધુમાડાના જે ગોટેગોટા નીકળી સર્પાકારે ઊંચે ચઢી સ્વચ્છ આસમાની રંગના આકાશ જોડે મળી જતા હતા, વખતે વખતે મોટા મોટા સર્વા ઘીએ ભરીને કુંડમાં રેડતા ત્યારે મોટા તાપના જે ભડકા થતા હતા, તેમ જ એક તરફ નાગરની નાજુક તથા રૂપાળી સ્ત્રીઓ સુંદર વસ્ત્ર તથા આભૂષણ સહિત બિરાજેલી હતી, અને તેમની સામે મોટાં પાઘડીવાળા પણ ગૌર વર્ણના અને ખુબસુરત નાગરગૃહસ્થ તથા બીજા પુરુષો બેઠા બેઠા પાનસોપારી ખાતા હતા, એ સઘળાઓની વાતચિતથી જે ગણગણાટ થઈ રહ્યો હતો, એ સર્વની તો કલ્પના માત્ર થઈ શકે, પણ યથાસ્થિત બ્યાન કરવાને તો કોઈ કવિરાજ અથવા ચિત્રવિદ્યામાં કુશળ પુરુષ જરુર જોઈએ.
જે ઠેકાણે ગામોના પટેલ બેઠા હતા ત્યાં સૌથી કદાવર તથા દેખીતો હોંશિયાર ભાણો પટેલ હતો. તે જાતનો કણબી હતો, અને તેને પટેલાઈમાં રાજાની તરફથી ઘણાંએક વીઘાં જમીન મળેલી હતી, તે સિવાય તે ઘણાંએક પરગણાઓ ઇજારે રાખી તેઓની આમદાની વસુલ કરી રાજાને ત્યાં ભરતો. તેની ઉમર આસરે ત્રણ કુંડી વર્ષની હતી, પણ “સાઠી બુદ્ધિ નાઠી” એ કહેવત તેણે જુઠી પાડી હતી. તેનું શરીર ખાધેલ પીધેલ હતું, અને તેનું મન તેની જુવાનીના વખત જેવું જ તીવ્ર હતું, એટલું જ નહી પણ પ્રત્યેક વર્ષના અનુભવથી તેની અક્કલમાં વધારો થયાં કરતો હતો. તે સિવાય પાછલા વખતના રાજાઓ ખેડુતની સાથે કેવી રીતે ચાલતા હતા, તેઓના વખતમાં જમીનનો દર કેટલો હતો, તથા તે કેવી રીતે વસુલ કરવામાં આવતો હતો, એ વિગેરે જમીન સંબંધી તમામ હકીકત તેની યાદદાસ્તના ખજાનામાં ભરેલી હતી.
તેની સામેની બેઠકમાં જેઠાશા નામે શ્રાવક વ્યાપારી ઉંચી તથા માનવાળી જગાએ બેઠો હતો. એ શખસ લાખો રૂપિયાનો વ્યાપાર જમીન ઉપર તથા દરીયા ઉપર ચલાવતો તેની પેહેડીઓ ગામોગામ હતી. તેની સાખ એટલી તે હતી કે તેને જંગલમાં પણ રૂપિયા મળી શકે. તેનાં વહાણો દેશાવર ખાતે ઘણાંએક ફરતાં અને તેની દોલત લાખો તથા કરોડોથી ગણાતી. મુખમુદ્રા જોવાથી જેઓ માણસના ગુણ, બુદ્ધિ તથા સ્વભાવની પરીક્ષા કરે છે તેઓ જેઠાશાનું મ્હોં જોઈને ઘણું ગુંચવાયા વિના રહે નહી, પૈસા મેળવવાને તથા તેને સાચવી રાખવાને અને વ્યાપાર બરોબર ચલાવવાને જે અક્કલ જોઈએ છે તે તેની શિકલ જોતાં તેનામાં છે એમ શોધી કાઢવું મુશ્કેલ હતું. તેનું શરીર એટલું તો જાડું હતું કે જો તે એકાએક મરી જશે તો તેને ઊંચકી શી રીતે લઈ જવાશે એ વિશે તેની ન્યાતના લોકોને ભારે ફિકર હતી. તેમાં ચરબી એટલી તો હતી કે તેનું પેટ ઝુલી ગયું હતું. અને તેના વાટા એવા મોટા અને જાડા હતા કે જો કોઈ નાની વસ્તુ તેમાં ભરાઈ જાય તો વર્ષોનાં વર્ષો સુધી તેમાં રહે અને તેના જાણ્યામાં પણ ન આવે, તેની બોચી આગળ એક એવો જાડો વાટો વળ્યો હતો કે હજામત કરાવતી વખતે હજામને તેને ઉચકી બોડતાં ઘણી મુશ્કેલી પડતી હશે. તેનું મ્હેાં પણ તેવું જ મોટું હતું. તેની આંખ ખાડામાં પેસી ગયેલી તથા ઝીણી હતી, અને વારેવારે પલકારા માર્યા કરતી તે ઉપરથી જણાતું કે તેને સોનું રૂપું જોવા ઉપર ઘણી પ્રીતિ હતી. એવો જેઠાશા તે વખતે મોતીનાં ઘરેણાં પહેરીને બેઠો હતો. તે આદિનાથનો ભક્ત હતો તેથી માતાના હવન ઉપર તેને કાંઈ આસ્થા ન હતી, તથા તે જોવાથી અને બ્રહ્મવચન સાંભળવાથી પરલોકમાં સુખની પ્રાપ્તિ થશે એમ તે માનતો ન હતો, તો પણ ઘરધણીને માત્ર ખુશ કરવાની મતલબથી તે ત્યાં આવી બેઠો હતો.
નાગર ગૃહસ્થોની ટોળીમાં એક પુરુષ વિશેષે કરીને તેજસ્વી તથા જોવા લાયક હતો, તે એક મોટા રૂપાની ભમરીવાળા પાટલા ઉપર બેઠેલો હતો, તેના શરીર ઉપર ફક્ત ધોતીયું તથા ઘણી ઉમદા કાશ્મિરી શાલ હતી, હાથે હીરાની પોંહોચી તથા બાજુબંદ હતા, અને આંગળીએ હીરા, માણેક વિગેરેની ચળકતી વીંટીઓ હતી. કોટે વટાણા જેવડાં મોતીઓની કેટલીએક માળા તથા હીરાનો કંઠો હતો, અને કાન પણ તેથી વધારે મોટાં તથા પાણીદાર મોતીથી શણગારેલા હતા, તેના દેખાવ ઉપરથી માલમ પડતું હતું કે તે કોઈ મોટો માણસ છે, અને તેને જોઈને કોઈને પણ તેને માન આપ્યા વિના ચાલે જ નહીં એવો તેનો દમામ હતો. તેનું કદ મધ્યમ હતું, તેના શરીરનો બાંધો છેક જાડો તો ન કહેવાય, તો પણ તેનું વલણ કાંઈએક જાડાશ ઉપર હતું, તેની ચામડીનો રંગ ઘણો સફેદ હતો, તેનું મ્હોં જરા લંબગોળ હતું; અને નાક કાન પણ ઘણાં ઘાટદાર હતાં. તેની આંખ ચપળ તથા બુદ્ધિના તેજવાળી હતી, આ ગૃહસ્થ જાતે નાગર બ્રાહ્મણ હતો, અને તેનું નામ માધવ હતું, તે કરણરાજનો મુખ્ય પ્રધાન હતો. તેણે પોતાના બુદ્ધિબળે તે રાજા ઉપર એટલી તો સત્તા મેળવી હતી કે તેને પુછ્યા સિવાય રાજા કાંઈ કામ કરતો ન હતો. સઘળું કામકાજ તે જ કરતો. રાજા તો પુતળા જેવો હતો, અને ખરેખરો રાજા પોતે જ હતો, એ કારણથી સઘળા લોકો તેનાથી દબીને ચાલતા, તેને માન આપતા, અને તેને ખુશ કરવાને વાસ્તે જ ઘણાએક આ પ્રસંગે તેના ઘરમાં એકઠા થયા હતા.
હવનનું કામ હવે પુરું થવા આવ્યું, છેલ્લા નાળિયેરની આહુતિ આપવાને અગ્નિને વધારે જાગૃત કીધો, બ્રાહ્મણો વધારે જોરથી ભણવા લાગ્યા. સઘળા લોકો સમાપ્તિની ઘણી આતુરતાથી રાહ જોવા લાગ્યા. સઘળે ગડબડાટ થઈ રહી, કુંડમાંથી અગ્નિનો ભભુકો ઉઠયો, અને માતાનું છેલ્લું બલિદાન આપવામાં આવ્યું, તે ક્ષણે “જે અંબે” “અંબે માતકી જે” એવો મોટો પોકાર પડ્યો. નાનાં નાનાં છોકરાંઓ પોતાની જગો ઉપરથી ઉઠીને કુદવા લાગ્યાં, થોડીવાર પછી સઘળું શાંત થયું એટલે વિજીયાદત્ત પંડ્યા જે માધવનો કુળગોર હતો તે ચાંલ્લાની કુંકાવટી, હવનની આશકા તથા પ્રસાદ લઈને ઉઠ્યો. ગોર મહારાજને આવા શ્રીમંત યજમાન મળેલા તેથી તેને પૈસાની કંઈ ખોટ ન હતી, તે શરીરે ઘણો સ્થૂલ હતો, અને તેનું પેટ એટલું તો મોટું હતું કે તેમાં સાત લાડુ ગોઠવાય તો પણ થોડી ખાલી જગા રહે. તેણે બાયડીઓને તથા ભાયડાઓને ચાંલ્લા કીધા, તે ઉપર ચોખા ચોડ્યા, હવનની આશકા આપી, આશિર્વાદનો મંત્ર ભણી, થોડો થોડો પ્રસાદ સઘળા મોટી ઉમરવાળાને વહેંચ્યો. પછી નાનાં નાનાં છોકરાંને પોતાની પાસે બોલાવી. તેઓને કુદાવ્યાં, નચાવ્યાં તથા ખાવાની લાલચને વાસ્તે કુતરાંની પેઠે ગેલ કરાવી પ્રસાદ એકદમ ઉડાવ્યો, એટલે તેઓ ભોંય ઉપર પડી સાંભરવા મંડ્યાં. તે વખતની તેઓની બુમાબુમ, પ્રસાદ લેવાને માટે મારામાર અને હડસેલા હડસેલી, અને માતાનું નૈવેદ પગતળે છુંદાય નહી તે બાબતની તેમની ફિકર, તથા જેઓએ વધારે જબરાં હોવાને લીધે વધારે પ્રસાદ લીધો તેઓનો હરખ, અને જે બીચારાંની પાસે થોડો આવ્યો તેઓની દિલગીરી એ સઘળું જોઈને બીજાં બધાંને ઘણી જ ગમત થઈ. પ્રસાદ વહેંચાઈ રહ્યો એટલે તમામ છોકરાં વેરાઈ ગયાં, તથા હવન પૂરો થયો, એટલે ઘણા ખરા જોવા આવેલા લોકો પોતપોતાને ઘેર ગયા. બઈરાં પોતાને ધંધે વળગ્યાં, બ્રાહ્મણો દક્ષિણા લઈ અનાજ વિગેરે જે કાંઈ મળ્યું તે ધોતીયાને છેડે બાંધી લઈ બીજે ઠેકાણે હવન કરાવવા ગયા, તે ઠેકાણે માત્ર માધવ પ્રધાનજી, જેઠાશા શાહુકાર, ભાણો પટેલ, તથા વિજીયાદત્ત પંડ્યા બેશી રહ્યા. તેઓને માધવની સાથે મિત્રાચારીનો દાવો તથા તેઓ શહેરના મુખ્ય માણસ તેથી બીજા પારકા લોકોની પેઠે તુરત ઉઠી જવું તેઓને યોગ્ય લાગ્યું નહી તેથી તેઓ પ્રધાનજીના પાટલા પાસે ગાદી માંડી હતી ત્યાં તકીએ અઢેલીને બેઠા. થોડી વાર ચુપ બેઠા પછી માધવ બોલ્યો. “ગોરમહારાજ, હવન સારી પેઠે તો કીધો છે ? કાંઈ ગડબડ ગોટા તો વાળ્યા નથી? કેમકે આજે ઘણે ઠેકાણે હવન થવાના, અને તમારી નજર તમારા બ્રાહ્મણોને જેમ બને તેમ રળાવવાની એટલે કદાચ ગડબડ થઈ હોય, તમે કરો એવા તો નથી, તોપણ અમથું પુછું છું. ક્રોધ લાગે તો ક્ષમા કરજો.”
આવા બોલ સાંભળીને ગોરમહારાજને ક્રોધ તો ચઢ્યો. પોતે માતા ઉપર અનાસ્થા રાખી પોતાના જાતભાઈઓનો ફાયદો કરવા ઉતાવળ કરી, કર્મ બરાબર કરાવ્યું નહી એવી યજમાનને શંકા ઉત્પન્ન થઈ તેથી જીવને જરા દિલગીરી પણ થઈ, પણ પ્રધાનજીના ગોર રાજદરબારમાં જનારા, તથા મોટાની ચાકરીમાં નીચાએ કેવી રીતે વર્તવું એ વિશે તેણે ઘણીએક વાર સાંભળેલું તેથી તેને પોતાની મનોવૃત્તિઓ ઉપર અખતિઆર રાખવાની ટેવ પડી હતી, તેથી ગુસ્સો દબાવી દઈને તથા મ્હોં જેવું શાંત હતું તેવું રાખીને જવાબ દીધો, “યજમાનરાજ ! આવી વાત તમે કોઈ દહાડો મારી આગળ કીધી નથી, અને આજે આવાં વચન તમારા મ્હોમાંથી નીકળેલાં સાંભળીને મને ઘણું આશ્ચર્ય લાગે છે, અને તમારી મતિ કાંઈ બદલાઈ હોય એમ મને લાગે છે, અને જ્યારે આપ જેવા પુરુષની મતિ બદલાઈ ત્યારે આગળ કાળ કેવો આવશે તેનો મોટો ભય રહે છે, જે મોટી આદ્યશક્તિ, જેથી આખા વિશ્વની ઉત્પત્તિ, એવી અંબાભવાની તથા સઘળા જગતની માતા તેના હવનમાં મેં જાણી જોઈને ગફલત કીધી એવી શંકા પણ મારી આખી જીદગીમાં આજે જ મારે માટે આવી છે. તમે જાણો છો કે જગતમાં જે સઘળા દેવો છે તેઓ કળિયુગમાં ઉંઘી ગયેલા છે, જાગતીજોત અંબામાતા છે, તેનો પરતો કેટલો છે તે સઘળાને માલમ પડે છે. માતાનાં રૂપ જુદે જુદે વખતે જુદાં જુદાં દેખાય છે, એ સિવાય બીજા ઘણા ચમત્કાર ત્યાં જોવામાં આવે છે. અમથા અપશબ્દ બોલવામાં પાપ છે ખરૂં પણ માતાની આગળ ભવાઈ કરતી વેળા નિર્લજ શબ્દો બોલવામાં જાત્રાળુઓ પાપ ગણતા નથી. આપણા લોકોના ધર્મમાં મદ્યપાન કરવાનો પ્રતિબંધ કીધેલો છે, છતાં પણ દેવીભક્તો તેનું પાન કરે છે. વળી કોઈપણ પ્રકારની હિંસામાં મોટામાં મોટું પાતક આપણા ધર્મશાસ્ત્રમાં ગણેલું છે; તો પણ માતાના ધામમાં બકરાં, મુરઘાં, પાડા વિગેરેનું બળિદાન કરવામાં આવે છે, અને તેથી પણ વધારે આશ્ચર્યકારક વાત એ છે કે, એ પ્રમાણે વધ કીધેલાં પ્રાણી પ્રસાદની માફક વહેંચી લેવામાં આવે છે, અને ઘણાએક શખ્સો જેઓ બીજે કોઈપણ વખતે માંસ ભક્ષણ કરતા નથી તેઓ આવે પ્રસંગે દેવીને પ્રસન્ન કરવાને માટે પોતાના બાપદાદાનો સંપ્રદાય તોડે છે, અને ધર્મશાસ્ત્રને પણ એક બાજુએ મુકે છે. અંબાભવાનીની યાત્રા કરવા લોક જાય છે ત્યારે તેઓને કેટલી હોંશિયારી રાખવી પડે છે ? તેલ તો ત્યાં મુદ્દલ વપરાય જ નહી. માતાના ધામ આગળ કોઈ દુરાચરણે વર્તે તો તેનાં માઠાં ફળ તેને તત્કાળ મળ્યા વિના રહે જ નહી, માતાના કામમાં વર્ષોવર્ષ જે પ્રમાણે કરવામાં આવતું હોય તેમાં જો જરા પણ ફેરફાર કીધો તો માતાજી કોપાયમાન થાય છે, અને એ પ્રમાણે કરોઠું બદલનારને કોઈપણ પ્રકારે શિક્ષા થયા વિના રહેતી નથી. નવરાત્રી નવ દહાડા સમી સંધ્યાએ માતાજી પોતાની સહિયરોને સાથે લઈ રથમાં બેસી આકાશમાર્ગે જાય છે, તે વખતે ઉઘાડે માથે જો કોઈ અગાસી, ચોક અથવા બીજી ખુલ્લી જગામાં બેસે તો તેના માથા ઉપરથી તે રથ ફરી જાય, અને તેને તે વર્ષમાં કોઈ રોગ થયા વિના રહે નહી. એ સિવાય માતા આગળનો દીવો તથા તેને લગતી ઘણીએક વસ્તુઓમાં હોંશિયારી રાખવાની છે. આ પ્રમાણે હું દેવીનું મહાત્મ તથા પરતો જાણું છું તે છતાં હવન કરવામાં ગડબડ કરું એ વાત કાંઈ સંભવિત છે? બાપજી ! તમે બ્રાહ્મણના રળતરની વાત કહી તે સાંભળીને મારૂં હૈયું ઉભરાઈ આવે છે. બ્રાહ્મણોના તો દહાડા ગયા, અને તેઓની કમાઈ સુકાઈ ગઈ, શી વાત કહેવડાવો છો?
બાપજી ! બ્રાહ્મણો બિચારાનું હમણાં કાંઈ વળતું નથી. યુગ બદલાઈ ગયો, રાજા અને પ્રજા એ બંનેમાંથી ભક્તિ ઉઠી ગઈ. પરમેશ્વર ન કરે પણ રાજાની ખરાબી એ પાપને લીધે થશે. લાહોર અને દિલ્લી તરફ મ્લેચ્છ લોકો હિન્દુ રાજાઓની ધુળધાણી કરતા જાય છે. એ જ પાપે સોમનાથ મહાદેવનું ખંડન થયું, અને આ દેશના રાજાની પણ ઘણી દુર્દશા થઈ, પણ હજી આગલા રાજાનાં સુકૃત આડા આવે છે, અને તેથી દેશનું રક્ષણ થાય છે. તમારા સરખા ગૌબ્રાહ્મણ પ્રતિપાળ પ્રધાનજી છે એટલે આ રાજ્યમાંના બ્રાહ્મણોને બેશક લાભ છે જ. આગલા રાજાની તો શી વાત થાય ? સાંભળો, મહારાજ ! હું એક દૃષ્ટાંત આપું.
જ્યારે મૂળરાજ વૃદ્ધ થયો ત્યારે તેનાં પાપથી મુક્ત થવાને તથા શુદ્ધિ પ્રાપ્ત કરવાને શ્રીસ્થળ (સિદ્ધપુર) ગયો. બધાં તીર્થમાં શ્રીસ્થળ વધારે પવિત્ર ગણાય છે તે લક્ષ્મી આપનાર છે, અને જે તેને જોય છે તેનો ઉદ્ધાર થાય છે. ગયાજીથી સ્વર્ગ ત્રણ યોજન આઘું છે. પ્રયાગથી દોઢ યોજન છે, પણ શ્રીસ્થળ જ્યાં સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે ત્યાથી તો તે એક જ હાથ આધું છે એમ લોકો માને છે, એ તીર્થે તેણે સઘળાં પવિત્ર સ્થળોથી બ્રાહ્મણોને બોલાવ્યા, જ્યાં ગંગા અને યમુનાનો સંગમ થાય છે ત્યાંથી એકસો ને પાંચ બ્રાહ્મણ આવ્યા, સો સામવેદી ચ્યવનાશ્રમમાંથી આવ્યા; બસેં કન્યાકુબજમાંથી, સૂર્ય સરખા તેજસ્વી સો કાશીથી; બસેં ને બોત્તેર કુરૂક્ષેત્રથી, ગંગાદ્વારથી સો, નૈમિષારણ્યથી સો; અને કુરૂક્ષેત્રથી વળી વધારે એકસો બત્રીશ આવ્યા. રાજાએ બ્રાહ્મણોની આગળ સાષ્ટાંગ દંડવત કીધા, અને તેઓએ તેને આશિર્વાદ દીધો. પછી હાથ જોડીને રાજા બોલ્યો, “તમારી કૃપાથી જન્મ લીધાનો લાભ મને મળ્યો, મારી આશા હવે પૂર્ણ થશે, માટે અરે બ્રાહ્મણો, કૃપા કરીને મારું રાજ, ધન, હાથી, ઘોડા, ઈત્યાદિ જે ઈચ્છામાં આવે તે લો. હું તમારે શરણે છું, અને તમારો દાસ છું.” બ્રાહ્મણો બેાલ્યા; “રાજાધિરાજ, અમારાથી રાજ ચલાવી શકાય નહીં, ત્યારે તેનો નાશ કરવા શા સારૂં અમે તે લઈએ? જમદગ્નિના પુત્ર પરશુરામે ક્ષત્રિયો પાસેથી બળાત્કારે પૃથ્વી લઈ બ્રાહ્મણોને એકવીશવાર આપવા માંડી, પણ બ્રાહ્મણોએ તે લીધી નહી.” રાજા બોલ્યો, “હું તમારૂં રક્ષણ કરીશ. તમે તમારું ખટકર્મ કરો, અને કાંઈ ચિંતા ન કરો.” બ્રાહ્મણો બોલ્યાઃ “પંડિતો કહી ગયા છે કે જેઓ રાજા પાસે રહે છે તેઓના ઉપર વિપત્તિ આવી પડે છે. રાજાઓ અહંકારી, કપટી, તથા સ્વાર્થી હોય છે, માટે રાજાધિરાજ, જો દાન કરવાની તમારી ઇચ્છા હોય તો આ મોટું તથા રમણીય શ્રીસ્થળ અમને આપો એટલે અમે અહિઆં સુખેથી રહીશું. જે સોનું, રૂપું, અને હીરા વિગેરે બ્રાહ્મણોને આપવાં હોય તે સઘળું એ શહેરને શોભાયમાન કરવાને ખરચો.” રાજા આ વાત સાંભળી ઘણો ખુશ. થયો અને તેઓને પગે પડીને ગાય, સોના, હીરા વિગેરેના હાર ટાંગેલા રથ, તથા બીજી દક્ષિણાની સાથે શ્રીસ્થળ આપ્યું. વળી મૂળરાજે દશ બ્રાહ્મણને દક્ષિણા સહિત સુંદર તથા દ્રવ્યવાન સિંહપુર (સિહોર) ગામ આપ્યું. સિદ્ધપુર અને સિહોરની પડોસમાંનાં બીજા કેટલાંએક ગામો તેણે બીજા બ્રાહ્મણોને આપ્યાં. વળી તેણે સોમવલ્લીમાં મગ્ન રહેનારા છ બ્રાહ્મણોને સાઠ ઘોડા સહિત સ્તંભતીર્થ (ખંભાત) આપ્યું. સિદ્ધરાજે આ બક્ષિસ મંજુર કીધી અને બાલક (ભાલ) દેશમાં સો ગામ બ્રાહ્મણોને આપ્યાં, તે વખતે સિહોરની આસપાસ વાઘ અને બીજાં પ્રાણઘાતક પશુઓનો ભય હતો તેથી બ્રાહ્મણોએ તેને બદલે ગુજરાતમાં રહેવાની રજા માગી, ત્યારે રાજાએ તેઓને સાબરમતી નદી ઉપરનું આશાબીલી ગામ આપ્યું, અને સિહોરમાંથી જેટલું અનાજ લઈ ગયા તેટલા ઉપરથી દાણ માફ કીધું. ધન્ય છે એ રાજાઓને તથા તેઓનાં માતાપિતાને. તેઓએ તો પોતાના દેહનું સાર્થક કીધું. તેઓ તે ચોરાસી લાખના ફેરામાંથી ટળ્યા. હમણાં તેઓ આકાશમાં તારા થઈ પ્રકાશતા હશે.” એટલી વાત કહી વિજીયાદત્ત મહારાજ માટે નિશાસો મુકી ચુપ રહ્યા.
બ્રાહ્મણનું એટલું દુ:ખ સાંભળીને ભાણા પટેલથી પોતાનું તથા બીજા ખેડુત લોકનું દુઃખ કહ્યા વિના રહેવાયું નહી. તે બોલ્યો, “ભાઈ, એકલા બ્રાહ્મણની જ અવસ્થા આવી થઈ એમ નથી, ખેડુત લોકોની દશા પણ હાલને સમયે સારી નથી. હોણ વરસાદ જોઈએ તેટલો આવ્યો નથી, તેથી પાક પણ વર્ષોવર્ષ જેવો થયો નથી, તે છતાંપણ ઉઘરાતદાર મહેતો કહે છે કે દરબારી ભાગ મારી ઠોકીને લીધામાં આવશે. અમારા ઉપર કાંઈ થોડો જુલમ છે ? ગામની ખળીમાં અમારું અનાજ ભરવાની શરતે અમને કાપણી કરવા દે છે. જુદા જુદા માલિક તેઓના અનાજના જુદા જુદા ઢગલા કરે છે. બળદવડે અનાજ જુદું પાડે છે. પછી જમીનદાર પટેલ, કારભારી, અનાજ માપનારા વાણીયા, ખેડુત અને ચોકીદાર એ સઘળા ખળીમાં એકઠા થાય છે. પહેલાં તે અનાજને ચાળીશમો ભાગ રાજાને જુદો કાઢે છે. પછી તેથી કાંઈ થોડું કારભારીને માટે, રાજાના પાટવી કુંવરના ખાનગી ખરચને વાસ્તે, ગામના ચોકીદારને, અનાજ માપનાર વાણીયાને, ગામના પટેલને, દેવી અથવા વિષ્ણુના દેવસ્થળને વાસ્તે, તળાવને સારૂં, કુતરાને માટે અને એમ બીજા ઘણા એકને આપવામાં આવે છે. જ્યારે માપવાનું કામ પૂરૂ થાય છે ત્યારે ખેડુત જોરથી ટોપલા ઉપર હાથ નાંખે છે, અને કહે છે કે હવે બસ થયું. બાકી જેટલું અનાજ રહ્યું તે ખેડુત તથા જમીનદાર બરાબર હિસ્સે વહેંચી લે છે. એટલું થોડું ખેડુતને મળે છે, તે છતાં પણ જ્યારે રાજાને કુંવરી પરણાવવી હોય, અથવા એવો બીજો અગત્યનો ખરચ કરવો હોય, ત્યારે ખેડુત ઉપર ફાળો નાંખે છે. વળી રાજકુટુંબના વહીવંચા ભાટને અથવા કોઈ ભિક્ષુકને હરેક હોળ ઉપર જુજવો કર કરી આપે છે. અથવા ખળીમાંના અનાજના ઢગલામાંથી કેટલાંએક માપાં અનાજ લેવાનો હક કરી આપે છે એ પ્રમાણેનો કર એક વર્ષ લેવામાં આવે છે અથવા વર્ષોવર્ષ ચાલુ રાખે છે. કોઈએક ગામની આમદાનીમાંથી કેટલાએક રૂપીયા વસુલ કરી લે છે. ખેડુત લોકોની સારા વર્ષમાં પણ જ્યારે આવી અવસ્થા છે, ત્યારે વરસાદની અછતને લીધે જ્યારે પાક ન થાય ત્યારે તો તેઓનું પુછવું જ શું ? મંત્રી કહે છે કે કાંઈ પણ છુટ મુકવામાં આવશે નહી. તમે રાજા આગળ જઈને નાનાં છોકરાંની પેઠે રડશો તથા કાલાવાલા કરશો અને પંચ માગશો તે પણ તમારી વાત ઉપર કોઈ ધ્યાન આપવાનું નથી. તેનો વિચાર એવો છે કે રૈયતના ઉપર જરા પણ દયા કરવી નહી; અને એ વિચારને તે મજબુતી આપવાને વારેવારે આ કહેવત કહ્યાં કરે છે કે ‘રૈયત રાજા રામચંદ્રની પણ થઈ નથી.’ પણ બાપજી, એ પ્રમાણે નથી. રૈયત તો રાજના સ્તંભ છે, રૈયતવડે જગત જીવે છે; અને રૈયત સારાં કામની કદર જાણનાર છે. બાપજી તમે તો જાણતા હશો કે ભીમદેવના રાજમાં એક વર્ષ વરસાદ ન થયો તેથી ડંડાહી તથા વિશોપક ગામના કુટુંબિક (કણબી) રાજાને તેનો અનાજનો ભાગ આપી શક્યા નહીં. તે વખતે રાજાએ તપાસ કરવાને તે ગામો ઉપર એક મંત્રી અથવા મહેતાને મોકલ્યો, તેણે તમામ મિલકતવાળા ખેડુતને પકડીને રાજધાનીમાં લાવી રાજા આગળ રજુ કીધા, રાજાનો પાટવી કુંવર મૂળરાજ સત્યવાદી તથા એકવચની હતો. તે એક દિવસે સવારે રાજાના એક ચાકરને સાથે લઈને તે ફરતે હતો. તે વખતે તેણે આ સઘળા લોકોને ભયભીત થઈ માંહેમાંહે બબડતા સાંભળ્યા. તરત તેણે ચાકરની મારફતે ખબર કઢાવી, અને તેઓની હકીકત સાંભળીને તેને એટલી તો દયા આવી કે તેની આંખમાં આંસુ આવ્યાં. એકવાર મૂળરાજે અશ્વવિદ્યામાં એટલી તો કુશળતા દેખાડી કે રાજાએ તેના ઉપર પ્રસન્ન થઈ તે જે માગે તે આપવા વચન આપ્યું. મૂળરાજે માગી લીધું કે કણબીઓનું ગણોત માફ કરવું, રાજાએ ઘણી ખુશીથી તેની વાત કબુલ કરી તેઓને બંધીખાનામાંથી છોડી મુક્યા. તેઓ મૂળરાજને પગે પડ્યા, તેઓમાંના કેટલાએક જાથુ તેની સાથે રહ્યા, અને બીજાઓ જે પોતાને ગામ ગયા તેઓએ તેની કીર્તિ ઘણી વધારી, પણ તે બિચારો મૂળરાજ મરી ગયો. પછી બીજે વર્ષે જ્યારે પાક સારો થયો ત્યારે ચાલુ તથા પાછલા વર્ષનો રાજાનો ભાગ લઈને તે ખેડુતો આવ્યા. ભીમદેવે પાછલા વર્ષનો ભાગ લેવાની ના કહી; પણ ખેડુતોએ કાલાવાલા કરી માંગી લીધું કે એ બાબતનો ફેંસલો કરવાને પંચ નીમવા જોઈએ. પંચે ઠરાવ કીધો કે બંને વર્ષના રાજાના ભાગ લેવા, અને આમદાનીમાંથી મૂળરાજના કલ્યાણને અર્થે ત્રિપુરૂષપ્રસાદનું દહેરૂં બાંધવું, ખેડુત લોકો તો એવા હોય છે. માટે બાપજી ! મંત્રીના કહેવાથી કામ ના કરતાં ઉપલા દૃષ્ટાંત ઉપર પણ વિચાર રાખજો.” એ પ્રમાણે વાતની વાતમાં પોતાનું કામ કાઢી લઈ મનમાં ઘણો સંતોષ પામીને ભાણો પટેલ મુંગો રહ્યો.
માધવે વિજીયાદત્ત ગોરની તથા ભાણા પટેલની વાત લક્ષ દઈ સાંભળ્યા પછી જેઠાશા તરફ ફરી તેને પુછયું, “કેમ શાહ ! તમારે કાંઈ દુ:ખ રડવું છે?” તે વર્ષે તેને વ્યાપારમાં નફો સારો મળ્યો હતો તેથી તેના મનમાં એવું હતું કે આખા જગતમાં વ્યાપારીઓ સુખી જ હોવા જોઈએ. તો પણ કાંઈ બોલવું તો જોઈએ માટે તે પોતાની બડાઈ કરવા લાગ્યો, “મ્હેં હોણ સ્તંભતીર્થ તથા ભૃગુપુર (ભરૂચ) બંદરે ઘણુંએક મંજીષ્ઠ (મજીઠ) મોકલ્યું છે. વળી બેટ દ્વારિકા, દેવ૫ટણ, મહુવા, ગોપનાથ અને બીજા બંદરોના મારા આડતિયા લખે છે કે અમે ઘણોએક માલ તમારી તરફથી લીધો છે. તે બધામાંથી રોટલા ખાવા જેટલું કુટી કાઢીશું, હોણ મળત વધારે, પણ સૂર્યપુર (સુરત) તથા ગણદેબા (ગણદેવી) બંદર આગળ મારાં વહાણ આવતાં હતાં તેમાંનો માલ ચાંચીયા લોકો લુંટી ગયા. તો પણ એટલું ભાગ્ય કે સોનાની મોહોરો સંતાડી રાખી હતી તે બચી ગઈ; નહી તો હોણ દેવાળું કાઢવાનો વખત આવત, બાપજી ! કાંઈ વધારે તમને કહેવાનું તો નથી, પણ એ ચાંચીયા લેાકોનો કાંઈ બંદોબસ્ત થાય તો સારૂં નહી તો અમારા જેવા વેપારી લોકનું સત્યાનાશ વળી જશે વળી રાજ્યમાં જે માલ આવે છે તથા જાય છે તે ઉપર દાણ જરા વધારે છે તેમાંથી કાંઈ ઘટાડો થાય તો સારૂં, તમે શ્યાણા છે એટલે વધારે બોલવાની જરૂર નથી, તો પણ જેમાં આપણો સ્વાર્થ રહેલો તેમાં બોલ્યા વગર પણ કેમ ચાલે ? કહેવત છે કે “માગ્યા વિના મા પણ ન પિરસે.” માધવે આ સઘળી વાત ઘણું મન દઈને સાંભળી. જો બને તો તે પ્રમાણે કરી લોકોની પ્રીતિ સંપાદન કરવી એ તેની મુખ્ય મતલબ હતી. માધવનું પ્રધાનપણું કાંઈ તેના બાપદાદાથી ઉતરેલું ન હતું. તે કોઈ ગરીબ માણસનો છોકરો વડનગર શહેરમાં જન્મ્યો હતો, અને તેની ઉમર સોળ વર્ષની થઈ ત્યારે તે ધંધો શોધવાને પાટણમાં આવ્યો હતો. પહેલાં તે લશ્કરના સિપાઈઓના પગાર વહેંચવા ઉપર કારકુન રહ્યો. ત્યાં ચાલાકી, હોંશિયારી તથા ઈમાનદારી બતાવી તે ઉપરથી તેને કોઠારીની જગા મળી, ધીમે ધીમે તે સારંગદેવ રાજાનો માનીતો થઈ પડ્યો. સારંગદેવ મરી ગયો ત્યારે તેના છોકરાઓ વચ્ચે ગાદીને માટે તકરાર પડી તેમાં માધવની હોંશીયારીથી તથા કાવત્રાંથી કરણનો રાજ્યાભિષેક થયો. તે દિવસથી માધવના ભાગ્યનો ઉદય થયો, અને કરણ રાજાએ ગાદી ઉપર નિર્ભય થતાં જ માધવને મુખ્ય પ્રધાનપદ આપ્યું. દરેક રાજ્યમાં મુખ્ય પ્રધાનની પદવી ઘણી ભારે તથા જોખમ ભરેલી હોય છે. રાજા તથા રૈયત બંનેને એકી વખતે ખુશ કરવાનું કામ હમેશાં મુશ્કેલ થઈ પડે છે. માધવ તે સઘળું સમજતો હતો. તેને લોકોમાં વહાલા થવાની તથા પોતાનું નામ લોકોને વાસ્તે સારાં તથા ઉપયોગી કામો કરી, અમર કરી લેવાની ઘણી હોંસ હતી; તો પણ રાજાની મહેરબાની તે જ તેના અધિકારનો પાયો છે, એમ તે સારી પેઠે જાણતો હતો. તેથી ગમે તે પ્રકારે રાજાને રાજી રાખવાનો તેણે દૃઢ નિશ્ચય કીધો હતો. આગલા રાજાઓમાંના કેટલાએકના પ્રધાન વાણીયા હતા તેથી તે લોકો માનતા હતા કે માધવને પ્રધાનપદ મળ્યાથી તેમનો હક્ક ખેાટો થયો, માટે હરેક પ્રસંગે રાજાની આગળ માધવની તેઓ ચાડી કરતા હતા. તેની સામે માધવને ઘણી યુક્તિઓ કરવી પડતી હતી, એ બધું કરવાની સાથે પોતાને વાસ્તે દ્રવ્ય એકઠું કરવા તરફ પણ તેની ઘણી નજર હતી, કેમકે તેનું પ્રધાનપણું કાયમ રહેશે એવો એક ક્ષણવાર પણ તેને પાકો ભરોસો ન હતો. હવે પૈસા તો મેળવવા અને સાધન તો થોડાં તેથી તે ઘણીવાર મોટા વિચારમાં પડતો હતો. રાજ્યની મર્યાદા ઉત્તર તરફ અચળગઢ તથા ચંદ્રાવતી, પશ્ચિમ તરફ મોઢેરા તથા જિંજુવાડા, પૂર્વ તરફ ચાંપાનેર તથા ડભોઈ અને દક્ષિણ તરફ છેક કોંકણ સુધી હતી, પણ ભોળા ભીમદેવના મરણ પછી રાજ્યમાં અવ્યવસ્થા થઈ ગઈ હતી. અચળગઢના પરમાર રાજાઓ ખંડણી બરાબર આપતા ન હતા. બીજા ખંડીયા રાજાઓ પણ નામની તાબેદારીમાં હતા. તેથી જો કરણ રાજા શૂરો નીકળે, અને રાજધાનીનું સુખ મુકી તલવાર બાંધી આગળ પડે, તો જ રાજ્યની આગલી કીર્તિ પાછી આવે. પણ તેમ થવાને ઘણો સંભવ ન હતો. જો કરણ જય કરી આવે, જો કેટલાએક નાના રાજાઓ પોતાની ખંડણી આપવી જારી કરે, અને તેથી રાજ્યની આમદાનીમાં વધારો થાય, તો જ બ્રાહ્મણોને રાજી કરાય, તો જ ભાણા પટેલના કહેવા પ્રમાણે ખેડુતોને છુટ આપવામાં આવે, તથા જેઠાશાનો માંગેલો દાણાનો ઘટાડો થઈ શકે. જો એ પ્રમાણે ન થાય, અને નહી થશે તેવી તેની ખાતરી હતી, તો રૈયતને ખુશ કરવી એ અશકય; માટે રાજાને રીઝવી જેમ બને તેમ પૈસા પોતાના ખજાનામાં ભરવા એ જ રસ્તો ખુલ્લો રહ્યો. પણ તેમ કરવામાં જોખમ ઘણું હતું. પ્રધાનપણું કરવું અને ગોખરૂની શય્યા ઉપર સુવું એ બે બરોબર હતું. જ્યારે સઘળા નાખુશ રહે, અને રાજા કાનનો કાચો, ત્યારે ગમે તેટલી ઊંચી પદવીનો શો ભરોસો ? વળી એવી રીતે વર્તી પોતે એકલાનું પેટ ભરી મોતે કે કમોતે મરવું એ વાત તેને જરા પણ ગમતી ન હતી. તેને કાંઈ છોકરાં ન હતાં. અને હવે પછી કદાપિ થાય પણ નહીં એવી બીક હતી. એ વાતથી તેના મનમાં નિરંતર શોક ઉત્પન્ન થતો હતો. કાળું ધોળું કરી પૈસા મેળવવા તે કોને વાસ્તે ? પાછળ કોઈ ભોગવનાર ન મળે, પિત્રાઈઓ તેની દોલતને માટે લડી મરે, અને તેનો જરા પણ ઉપકાર માને નહી, એટલું જ નહી પણ ઉલટા તેની નિંદા કરવામાં સામેલ થાય, એવા વિચારથી તેના હૈયામાં જાણે જખમ વાગતા હોય તેવું દુઃખ થતું, વળી હિંદુશાસ્ત્ર પ્રમાણે જેને પુત્ર પરિવાર નહી તેના જીવતરને ધિક્કાર ! તેની પાછળ પોક મુકનાર, આગ મુકનાર તથા મૃત્યુ- સંસ્કાર કરનાર કોઈ નહી તેથી તેની મુઆ પછી શી ગતિ થશે એ વિશે પણ તેને ઘણો ભય રહેતો હતો, પોતાનું નામ અમર રાખવાને માણસોને સ્વાભાવિક વૃત્તિ હોય છે, અને એ નામ પોતાના વંશથી અથવા લોકોપયોગી કામથી કાયમ રહે છે, માધવને પોતાના વંશ તરફથી કોઈ આશા ન હતી. તેમ લોકોપયોગી કામો કરવાનો હજુ સુધી પ્રસંગ પણ મળ્યો ન હતો, તેથી અગર જો તે રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ હતો, અગર જો રાજા તેને પુછ્યા સિવાય પાણી પણ પીતો ન હતો, અગર જો તેની ડોકી ધુણવાથી હજારોનાં નસીબ ખુલતાં, અને હજારો પાયમાલ થઈ જતા, અને અગર જો કે તેના ઉપર લક્ષ્મીની પણ કૃપા હતી તો પણ તે જ્યારે ભવિષ્યનો વિચાર કરતો હતો ત્યારે તેની અવસ્થા એવી થતી કે કોઈ ગામડીયો પણ તેની અદેખાઈ ન કરે.
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.
હવે પછીઃ પ્રકરણ ૨ જું
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
-
એક કલાકાર : ગાયકો એકથી વધુ [૯] : અમિતાભ બચ્ચન
નિરંજન મહેતા
અમિતાભ બચ્ચન – એંગ્રી યંગમેનથી મહાનાયક સુધીની એક વૈવિધ્યપૂર્ણ કારકિર્દી. અઢળક ફિલ્મોમાં વિવિધ પ્રકારની અદાકારી. તેની કેટલીયે ફિલ્મોમાં તેના માટે ગાયેલા ગીતોનાં ગાયકો એક કરતા વધુ હોય તેવી ફિલ્મો અને તેવા ગીતો આ લેખમાં સમાવાયા છે. અન્ય પાર્શ્વગાયકો ઉપરાંત ખુદ અમિતાભે ગયેલા ગીતોની પણ નોંધ લીધી છે.
૧૯૭૨ની ફિલ્મ ‘એક નજર’નું ગીત છે
पत्ता पत्ता बूटा बूटा
हाल हमारा जाने है, पत्ता पत्ता…
जाने न जाने गुल ही न जाने
बाग तो सारा जाने है, पत्ता पत्ताઅમિતાભ બચ્ચન અને જયા ભાદુરીની પ્રણય ગાથા રજુ કરતાં આ ગીતના ગાયકો છે રફીસાહેબ અને લતાજી
બીજું ગીત છેऐ ग़म-ए-यार बता कैसे जिया करते हैं
जिनकी तकदीर बिगड़ जाती है क्या करते हैंઅમિતાભ બચ્ચનની વ્યથા આ ગીતમાં દર્શાવી છે જેના ગાયક છે મહેન્દ્ર કપૂર
બંને ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.૧૯૭૩ની ફિલ્મ ‘સૌદાગર’ જેમાં અમિતાભ એક લગ્નેતર સંબંધ ધરાવે છે તેના ગીતો
हर हसीं चीज़ का मैं तलब्गार हूँ
हर हसीं चीज़ का मैं तलब्गार हूँ
रस का फूलों का गीतों का बीमार हूँ
रस का फूलों का गीतों का बीमार हूँ
हर हसीं चीज़ का मैं तलब्गारઆ ગીતમાં તેની માનસિક પરિસ્થિતિ ઉજાગર થાય છે જેના ગાયક છે કિશોરકુમાર.
બીજું ગીત છે
हुस्न है या कोई क़यामत है
ख़्वाब देखा है या हकीकत है
बेबसी है के प् नहीं सकते है
हमसे थोड़ी सी दूर जन्नत है
हमसे थोड़ी सी दूर जन्नत हैહોડીમાં સવાર અમિતાભ અને પદમા ખન્નાના વિચારો દર્શાવતાં આ ગીતના ગાયકો છે રફીસાહેબ અને આરતી મુકરજી.
બંને ગીતના ગીતકાર અને સંગીતકાર રવીન્દ્ર જૈન.૧૯૭૩ની અન્ય ફિલ્મ ‘અભિમાન’ જેમાં પતિ પત્નીના સંબંધોમાં ઈર્ષા જ્યારે જન્મે છે ત્યારે શું થાય છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે. આ ફિલ્મમાં ત્રણ ગીતો એવા છે કે જે જુદા જુદા પુરૂષ ગાયકોએ ગાયાં છે.
પહેલું ગીત છે
मीत न मिला रे मन का
कोई तो मिलन का
कोई तो मिलन का, करो रे उपायગાયક તરીકે વિખ્યાત અમિતાભ પ્રેક્ષકો સામે આ ગીત ગાય છે જેને સ્વર આપ્યો છે કિશોરકુમારે.
બીજું ગીત છે
तेरी बिंदिया रे आय हाय
तेरी बिंदिया रे
सजन बिंदिया ले लेगी तेरी निंदिया
रे आय हाय तेरी बिंदिया रेઆ ગીત તાજા પરણેલા યુગલના મનોભાવને વ્યક્ત કરે છે. જેના ગાયક છે લતાજી અને રફીસાહેબ
ત્રીજું ગીત છે
लूटे कोई मन का नगर बन के मेरा साथी
लूटे कोई मन का नगर बन के मेरा साथी
कौन है वो, अपनों में कभी, ऐसा कहीं होता है
ये तो बड़ा धोखा हैકોઈ એક કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીને એક સાથે ગાવાની તક મળે છે ત્યારનું આ ગીત છે. લતાજી અને મનહર ઉધાસ ગાયકો છે.
ત્રણેય ગીતના રચયિતા મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર સચિન દેવ બર્મન.૧૯૭૭ની ફિલ્મ ‘પરવરીશ’નું આ ગીત રોમીઓ અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના પર રચાયું છે.
अजी ठहरो ज़रा देखो
कुछ सोचो ज़रा समझो
हम तो मर जाएँगे ले के तेरा नाम
टूट गया जब दिल तो जीने से क्या काम
हम तो चले जो कहा-सुना हो माफ़ कर देनाનીતુ સિંહ અને શબાના આઝમીનો પીછો કરતા અમિતાભ અને વિનોદ ખન્ના આ ગીત ગાય છે જેને સ્વર આપ્યો છે શૈલેન્દ્ર સિંહ, અમિતકુમાર, આશા ભોસલે અને આરતી મુકરજીએ.
બીજું ગીત છે
आइए शौक़ से कहिए
हम्म आइए शौक से कहिए
कहिये ना है कोई काम
अजी काम वाम में क्या रखा है हम तो हैं आपके गुलाम
आइए बैठिये कहिये, क्या है जी आपका नामનીતુ સિંહ અને અમિતાભ પર રચાયેલ આ ગીતના ગાયકો છે કિશોરકુમાર અને આશા ભોસલે.
બંને ગીતોના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.૧૯૭૯ની ફિલ્મ ‘ધ ગ્રેટ ગેમ્બલર’નું આ ગીત એક ક્લબમાં ગવાતું ગીત છે
रक्कासा मेरा नाम
ए साहिब सबको सलाम
आप की खिदमत के लिए
मैं हाजिर हु आज की शामકલાકારો છે ઝીનત અમાન અને અમિતાભ. ગાયકો છે આશા ભોસલે અને રફીસાહેબ.
બીજું ગીત છેपहले पहले प्यार की
क्या हैं ये दीवानगी
तुझसे मिलकर हो गयी
क्या से क्या ये ज़िन्दगीનીતુ સિંહ અને અમિતાભની નોકઝોક આ ગીતમાં રજુ થઇ છે જે આશા ભોસલે અને કિશોરકુમારનાં સ્વરમાં છે.
બંને ગીતોના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને.૧૯૭૯ની અન્ય ફિલ્મ ‘મિ.નટવરલાલ’નું આ ગીત એક સમૂહ નૃત્ય છે
આ ફિલ્મમાં ત્રણ ગીતો એવા છે કે જે જુદા જુદા પુરૂષ ગાયકોએ ગયા છે.परदेसिया
परदेसिया ये सच है पिया
सब कहते हैं मैंने तुझको दिल दे दिया
मैं कहती हूँ तूने मेरा दिल ले लियाરેખા અને અમિતાભ પર રચાયેલ આ ગીતને સ્વર આપ્યો છે લતાજી અને કિશોરકુમારે.
બીજું ગીત એક સંદેશાત્મક ગીત છે .
अरे हे ऊँची-ऊँची बातों से
किसी का पेट भरता नहीं
अरे हे है राम का भरोसा जिसे
कभी भूखा मरता नहींરેખા અને અમિતાભ પર રચાયેલ આ ગીતને સ્વર આપ્યો છે લતાજી અને રફીસાહેબે.
ત્રીજું ગીત બાળકોને વાર્તા કહેવાના રૂપમાં છે જેનો અંત રસિક છે.
मेरे पास आओ, मेरे दोस्तो, एक क़िस्सा सुनो
कई साल पहले की ये बात है
बोलो ना, चुप क्यूँ हो गए?આ ગીતમાં અમિતાભે પોતે જ સ્વર આપ્યો છે.
૧૯૮૦ની ફિલ્મ ‘દોસ્તાના’નું આ ગીત બે મિત્રો વચ્ચેની તિરાડને જાગૃત કરે છે.
मेरे दोस्त किस्सा ये क्या हो गया
सुना है के तू बेवफा हो गयाશત્રુઘ્ન સિન્હા અને અમિતાભ પર રચાયેલ આ ગીતને સ્વર આપ્યો છે રફીસાહેબે.
બીજું ગીત એક પ્રેમગીત છે જે ઝીનત અમાંન અને અમિતાભ પર રચાયું છે..
दिल्लगी ने दी हवा, थोड़ा सा धुआँ उठा
और आग जल गई
तेरी मेरी दोस्ती, प्यार में बदल गई
तेरी मेरी दोस्ती, प्यार में बदल गईગીતના ગાયકો છે આશા ભોસલે અને કિશોરકુમાર.
બંને ગીતોના ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ
૧૯૮૧ની ફિલ્મ ‘સિલસિલા’ એક પ્રેમગાથા રૂપ છે તેના ગીતો પણ આ જ લાગણી પર રચાયા છે.
देखा एक ख़्वाब तो ये सिलसिले हुए
दूर तक निगाहों में हैं गुल खुले हुए
ये गिला है आप की निगाहों से
फूल भी हों दरमियाँ तो फ़ासले हुएરેખા અને અમિતાભ આ ગીતના કલાકારો છે જેના ગાયકો છે લતાજી અને કિશોરકુમાર.
બીજું ગીત પણ રેખા અને અમિતાભ પર રચાયું છે જેમાં અમિતાભનો સ્વર સંભળાય છે.
नीला आसमाँ सो गया
ओस बरसे रात भीगे होंठ थर्राये
धड़कने कुछ कहना चाहे कह नहीं पाये
हवा का गीत मध्यम हैબંને ગીતોનાં શબ્દો જાવેદ અખ્તરના અને સંગીત આપ્યું છે શિવ હરીએ.
૧૯૮૧ની અન્ય ફિલ્મ ‘નસીબ’નું આ ગીત એક પાર્ટીમાં ગવાયું છે જેમાં ફિલ્મ જગતની મોટી હસ્તીઓ પણ દેખાય છે. અમિતાભ આ ફિલ્મમાં એક વેઈટરનાં પાત્રમાં છે.
जोन जानी जनार्दन, तरा रम पम पम पम पम
साहिब ने बुलवाया, हाज़िर हूँ मैं आया
हूँ यारों का मैं यार, दुश्मनों का दुश्मन, दे दना दनસ્વર છે રફીસાહેબનો.
બીજુ ગીત સિક્કાની બીજું બાજુને અનુરૂપ છે જેમાં ચાર કલાકારો દર્શાવાયા છે.
जिंदगी इम्तिहान लेती है
लोगों की जान लोगों की जान
लोगों की जान लेती हैhttps://youtu.be/1S9pSwlW5Oo?list=RD1S9pSwlW5Oo
અમિતાભ સાથે શત્રુઘ્ન સિન્હા, હેમામાલીની અને રીના રોય સામેલ છે જેને સ્વર આપ્યો છે અનવર, કમલેશ અવસ્થી અને સુમન કલ્યાણપુરે.
બંને ગીતોના ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ૧૯૮૧ની વધુ એક ફિલ ‘લાવારીસ’નું ગીત એક કટાક્ષગીત છે.
चार पैसे क्या मिले
क्या मिले भई क्या मिले
खुद को समझ बैठे खुदा
वो ख़ुदा ही जाने अब होगा तेरा अंजाम क्या
काहे पैसे पे
काहे पैसे पे इतना गुरूर करे हैंઝીનત અમાનને ઉદ્દેશીને અમિતાભ આ ગીત ગાય છે. ગીતના ગાયકો છે આશા ભોસલે અને કિશોરકુમાર.
બીજું ગીત તો અત્યંત પ્રચલિત ગીત છે. ગીતના મધ્યમાં રાખી પણ દેખાય છે,
मेरे अंगने में
तुम्हारा क्या काम है
जोह है नाम वाला
अरे जोह है नाम वाला
वही तोह बदनाम हैગીતને સ્વર આપ્યો છે અલકા યાજ્ઞિક અને ખુદ અમિતાભે.
બંને ગીતના ગીતકાર છે અનજાન અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.૧૯૮૨ની ફિલ્મ ‘દેશપ્રેમી’નું આ ગીત રોમીઓ ટાઈપનું છે. હેમા માલિનીને માટે ગવાયેલું આ ગીત મહેમૂદનું ગીત ‘ખયાલો મેં’ ની યાદ અપાવે છે.
ख़ातून की खिदमत मे सलाम अपुन का
अजी पोट्ती पटना है भाई पोट्ती पटना है
अजी पोट्ती पटना है फ़क़त काम अपुन का
घर-बार हुआ इश्क़ मे नीलाम अपुन काસ્વર છે આશા ભોસલે અને કિશોરકુમારના.
બીજું ગીત સામાજિક ગીત છે જેમાં બે પક્ષોનાં ઝઘડામાં વચ્ચે આવી અમિતાભ આ સંદેશાત્મક ગીત રજુ કરે છે.
नफ़रत की लाठी तोड़ो, लालच का खंजर फेंको
ज़िद के पीछे मत दौड़ो, तुम प्रेम के पंछी हो
देश प्रेमियों, आपस में प्रेम करो देश प्रेमियोंસ્વર છે રફીસાહેબનો.
બંને ગીતોના ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ૧૯૮૩ની ફિલ્મ ‘નાસ્તિક’નું આ ગીત પણ રોમીઓ ટાઈપનું છે. રસ્તે જતી હેમા માલિનીને છેડતા અમિતાભ આ ગીત ગાય છે.
अरे, एक फरियादी हाज़िर है
हा एक फरियादी हाज़िर है दिलबर के दरबार मे
प्यारे तेरे प्यार मे लूट गये हम बाज़ार मे
प्यारे तेरे प्यार मे लूट गये हम बाज़ार मेઅમિતકુમાર અને આશા ભોસલેના સ્વર.
બીજું ગીત એક મસ્તીભર્યું ગીત છે જે ટ્રેન ઉપર ગવાયું છે. સ્વર છે કિશોરકુમારનો.
आज का ये दिन कल बन जाएगा कल
पीछे मुड़के ना देख प्यारे आगे चल
तू पीछे मुड़के ना देख प्यारे आगे चलબંને ગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.
૧૯૮૩ની અન્ય ફિલ્મ ‘મહાન’નું આ ગીત રિસામણા મનામણા રૂપનું છે
ऐ आधी बात हो चुकी तू आधी बात करले
अरे आधी बात हो चुकी तू आधी बात करले
आज की इस रात को सुहाग रात करले
भरले मेरे प्यार सेઝીનત અમાનને સુહાગરાતે મનાવવા આ ગીત ગવાયું હોય તેં લાગે છે જેને સ્વર આપ્યો છે કિશોરકુમારે.
બીજું ગીત એક સામુહિક નૃત્ય છે. અસંખ્ય કલાકારો વચ્ચે પરવીન બાબી અમિતાભને ઉદ્દેશીને આ ગીત ગાય છે.
यह दिन तो आता हैं एक दिन जवानी मे
आँखे मिले तोह लगे आग पानी मे
दिल को तोह खोना हैं खोना हैं खो जाये
आगे जो होना हैं होना हैं हो जायेસ્વર છે આશા ભોસલે અને આર.ડી.બર્મનના.
બંને ગીતના ગીતકાર અનજાન અને સંગીતકાર આર.ડી.બર્મન.૧૯૮૮ની ફિલ્મ ‘શહેનશાહ’નું આ ગીત બહેનની મસ્તી કરતુ ગીત છે.
ओ बहना ओ बहना
ओ मेरे जीजाजी का क्या कहना
रब ने ऐसी जोड़ी बनायी
जैसे तोता और मैनाકલાકરો છે અમિતાભ અને મિનાક્ષી શેષાદ્રી. ગાયક છે મહમદ અઝીઝ
બીજું ગીત એક પ્રણય ગીતના રૂપમાં કહી શકાય જેમાં મિનાક્ષી શેષાદ્રી પોતાની મનસા જાહેર કરે છે.
होगा थानेदार मेरा है दिलदार तू
वर्दी का तू रोब जमाले
टोपीवाले डराले करले जो है करना
मैं नही डरना मैं नही डरनाગાયકો છે લતાજી અને કિશોરકુમાર.
બંને ગીતના ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર છે અમર ઉત્પલ૧૯૮૯ની ફિલ્મ ‘જાદુગર’માં અમિતાભ એક જાદુગરનું પાત્ર ભજવે છે અને તે મુજબ આ ગીત ગાય છે.
मैं जादूगर हैं मेरा नाम गोगा
है मुझ जैसा नहीं कोई होगा
मैं जादूगर हैंhttps://youtu.be/H1lxztXkpMc?list=RDH1lxztXkpMc
સ્વર છે કુમાર સાનુનો.
બીજું ગીત પોતાની પડોસન જયા પ્રદાને ઉદ્દેશીને ગાય છે. આ ગીત ખુદ અમિતાભ ગાય છે
आए दीवाना जैसे जाता है
हा दीवाना जैसे जाता है
ज़ंजीरे तोड़के
अरे मुर्गा निकल गयामेराઅંને ગીતના ગીતકાર છે જાવેદ અખ્તર અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.
૧૯૯૧ની ફિલ્મ ‘હમ’નું આ ગીત સમભાવની ભાવનાને દર્શાવે છે.
एक दूसरे से करते हैं प्यार हम
एक दूसरे के लिए बेकरार हम
एक दूसरे के वास्ते मरना पड़े तो
हैं तैयार हम हैं तैयार हमદીપા સાહીને મનાવવા અમિતાભ સાથે ગોવિંદા, રજનીકાંત અને બાળ કલાકાર જોડાય છે. ગીતના ગાયકો છે અલકા યાજ્ઞિક, સુરેશ વાડકર, ઉદિત નારાયણ અને સોનાલી વાજપાઈ.
બીજું ગીત કિમી કાટકરને ઉદ્દેશીને ગવાયું છે. અતિ પ્રસિદ્ધ આ ગીત સુદેશ ભોસલેના સ્વરમાં છે.
अरे ओ जुम्मा, मेरी जानेमन, बाहर निकल
आज जुम्मा है, आज का वादा है
देख मैं आ गया, तू भी जळी आ
मुझे मत और तड़पाબંને ગીતોના ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ
૧૯૯૯ની ફિલ્મ ‘સૂર્યવંશમ’નું આ ગીત હૃદયની લાગણીને વ્યક્ત કરે છે. આ ફિલ્મમાં ત્રણ ગીતો એવા છે કે જે જુદા જુદા પુરૂષ ગાયકોએ ગયા છે.
दिल मेरे तू दीवाना है
पागल है मैंने माना है
पल पल आहें भरता है
कहने से क्यों डरता है
दिल मेरे तू दीवाना हैસૌન્દાર્યાને અનુલક્ષીને ગવાતા આ ગીતના ગાયક છે કુમાર સાનુ.
આ ફિલ્મનું બીજું ગીત છે
धरती पे नही अम्बर पे नहीं
नदिया पे नहीं सागर पे नहीं
फूलों पे नही बादल में नहीं
कागज़ पे नहीं आँचल पे नहींઅમિતાભે સૌન્દર્યા સાથે આ પ્રણયગીત ગાયું છે જેને સ્વર આપ્યો છે સોનું નિગમે. સૌન્દર્યા માટે સ્વર છે જસ્પીનદર નરુલાનો.
તો ત્રીજું ગીત ખુદ અમિતાભે ગાયું છે.
चलिआ रे चलि आरे चलि आरे
चोरी से चोरी से चोरी चोरी चोरी सेત્રણેય ગીતના ગીતકાર સમીર અને સંગીત છે અનુ માલિકનું.
૨૦૦૩ની ફિલ્મ ‘બાગબાન’ એક સંયુક્ત કુટુંબના વિખવાદને અનુલક્ષીને છે. જ્યારે અમિતાભ અને હેમા માલિનીને જુદા જુદા રહેવાનું આવે છે ત્યારે ફોન ઉપર તે બંને આ ગીત ગાય છે.
मई यहा तू वाहा, जिंदगी है कहा
तू ही तू है सनम देखता हू जहा
नींद आती नही याद जाती नहीસ્વર છે અલકા યાજ્ઞિક અને ખુદ અમિતાભના.
બીજું ગીત છે એક પાર્ટી ગીત જેમાં અમિતાભ હેમા માલિનીને ઉદ્દેશીને કહે છે
मेरी मखणा मेरी सोणिये, हे चाँद बलिए
सोनी तेरी चल सोनी वे, लगाड़ी कमाल सोनी वेગાયકો છે સુદેશ ભોસલે અને અલકા યાજ્ઞિક
બંને ગીતના ગીતકાર છે સમીર અને સંગીતકાર છે આદેશ શ્રીવાસ્તવ.
આ લેખમાં મળ્યા એટલા ગીતો સમાવાયા છે. આશા છે રસિકોને તે પસંદ પડશે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
હાસ્યથી મોંને ભરી દેતી પેરડીની પ્રસાદી
શ્રી બીરેન કોઠારી હિંદી ફિલ્મોના ગીતોના વિભાગ માટે પેરડીરૂપે ગીતશૃંખલા (મેડલી)ની નવી લેખમાળા રજૂ કરી રહ્યા છે.
દર મહિના બીજા શનિવારે એક એક પેરડી – મેડલી ગીતની મજા માણી શકાશે.
પ્રતિકાવ્ય : ગીતશૃંખલા
બીરેન કોઠારી
‘પેરડી’એટલે પ્રતિકાવ્ય અથવા પ્રતિરચના. તે હાસ્યનો એક પ્રકાર છે. પ્રતિરચનામાં વાંચનાર માટે શરત એ હોય છે કે તેને મૂળ રચનાની જાણકારી હોવી જોઈએ. તો જ તે મૂળ રચનાના અનુસર્જન જેવી ‘પેરડી’ને બરાબર માણી શકે.
ઘણાં જાણીતાં કાવ્યોની ‘પેરડી’ રચાયેલી છે. હિન્દી ફિલ્મોમાં પણ આવી ‘પેરડી’ની પરંપરા જોવા મળે છે. સામાન્ય રીતે અતિશય જાણીતા બનેલા ગીતમાં ધૂન એની એ જ રાખીને, તેના શબ્દો તદ્દન બદલી નાંખવામાં આવે છે. મૂળ ગીત જાણીતું હોય અને તેની ધૂન પર હાસ્યપ્રેરક ગીત રચાય એટલે તે રમૂજ પેદા કરે એ સ્વાભાવિક છે. હિન્દી ફિલ્મોમાં સામાન્ય રીતે આવી ‘પેરડી’ઓ ગીતોની શૃંખલા (મેડલી) રૂપે સાંભળવા મળે છે, જેમાં જાણીતાં ગીતોનાં મુખડાં લઈને તેની ધૂન પર હાસ્યપ્રેરક શબ્દો ગોઠવાયા હોય અને આવા છ-આઠ ગીતો હોય સળંગ હોય. ક્યારેક આખેઆખું ગીત પણ ‘પેરડી’ રૂપે સાંભળવા મળે છે. પેરડીની શરૂઆત ચોક્કસપણે કઈ ફિલ્મથી, કયા સંગીતકારથી, ગીતકારથી થઈ હશે એ કહેવું મુશ્કેલ છે. ધૂન તૈયાર હોવાથી તેમાં જે તે ફિલ્મના સંગીતકારનું કર્તૃત્વ નહીંવત ગણાય, અને ગીતકારનો ઉદ્યમ વધુ ગણાય.
આ વિશિષ્ટ શ્રેણીને બે મુખ્ય ધોરણે વિભાજીત કરવામાં આવી છે. પહેલા વિભાગમાં ‘મેડલી’ એટલે કે ગીતશૃંખલા અને બીજા ભાગમાં એકલ ગીતો.
આ ઉપરાંત ઘણી વાર એ પણ જોવા મળ્યું છે કે એક લોકપ્રિય ગીત અથવા ગીતશૃંખલા આખેઆખાં યથાતથ, પણ મૂળ ગીત કરતાં સાવ જુદી સ્થિતિમાં વપરાયાં હોય, જેનો હેતુ મુખ્યત્વે હાસ્ય પેદા કરવાનો હોય છે. આવાં, યથાતથ વપરાયેલાં ગીતો કે ગીતશૃંખલાનો સમાવેશ આમાં કર્યો નથી.
વધુ એક સ્પષ્ટતા એ કરવાની કે કોઈ એક ગીતની ધૂન પરથી પ્રેરીત થઈને એની એ ધૂન અન્ય સંગીતકારે વાપરી હોય તો એને ‘પેરડી’ ન કહી શકાય. આવાં તો અનેક ગીતો મળી આવે. કેવળ ઉદાહરણ ખાતર કહેવું હોય તો નૌશાદના પ્રસિદ્ધ ગીત ‘ક્યા મિલ ગયા ભગવાન’ (ફિલ્મ: અનમોલ ઘડી) પરથી એ જ ધૂન પર પ્રદીપજીએ ‘દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ (ફિલ્મ:જાગૃતિ) લખ્યું હતું. ફિલ્મનું સંગીત હેમંતકુમારનું હતું, પણ એ બહુ જાણીતી વાત છે કે પ્રદીપજી પોતાનાં ઘણાં ગીતોની ધૂન તૈયાર કરીને આપતા. પાકિસ્તાનમાં બનેલી ફિલ્મ ‘બેદારી’ આખેઆખી ‘જાગૃતિ’ ફિલ્મની પાકિસ્તાની નકલ હતું અને તેનાં તમામ ગીતો ‘જાગૃતિ’નાં ગીતોની ધૂન પર બનેલાં હતાં. ખ્યાતનામ કવિ ફૈયાઝ હાશમીએ આ ધૂનમાં શબ્દો ગોઠવ્યા હતા, જ્યારે સંગીતની ક્રેડીટ ફતેહ અલી ખાને લીધી હતી. (નુસરત ફતેહ અલી ખાનના તે પિતાજી થાય, જે પોતે કવ્વાલ હતા.) પાકિસ્તાનમાં બનેલી આ ફિલ્મનો હીરો ‘બુટ પૉલીશ’ અને ‘જાગૃતિ’નો બહુખ્યાત બાળનાયક રતન કુમાર (મૂળ નામ ‘નઝીર રીઝવી’) હતો.
પેરડીરૂપે ગીતશૃંખલાની દરેક કડીમાં પેરડી ગીતની લીન્ક મૂકવાની સાથોસાથ મૂળ ગીતની લીન્ક પણ મૂકાયેલી છે. શક્ય ત્યાં સુધી વર્ષવાર ચડતા ક્રમમાં આ ગીતોને મૂકવામાં આવશે.
પેરડીરૂપે ગીતશૃંખલાની પહેલી કડી
છિલના તેરા કામ, ખાના મેરી શાન
આમાં ધૂન તૈયાર અને નીવડેલી હોવાથી એમાં ફિલ્મની પરિસ્થિતિ અનુસાર હાસ્યસભર શબ્દો લખવાનું મુખ્ય કામ ગીતકારના ફાળે આવે એ સમજી શકાય એમ છે.
૧૯૪૨માં રજૂઆત પામેલી ફિલ્મ ‘જવાની કી પુકાર’ યાને ‘Call of youth’માં એક પેરડી ગીત સાંભળવા મળે છે. ‘આર્ટિસ્ટ્સ કમ્બાઈન, મુંબઈ’ દ્વારા નિર્મિત, ડી. બીલીમોરીયા દિગ્દર્શીત આ ફિલ્મના ગીતકાર એ.કે.મિસ્ત્રી અને સંગીતકાર વસંતકુમાર નાયડુ છે. ફિલ્મમાં ડી.બીલીમોરીયા, હરીશ, કલ્યાણી, વઝીર મોહમ્મદ ખાન, અફઘાન સેન્ડો જેવા કલાકારો હતા.
ફિલ્મનાં કુલ નવ ગીતો હતાં, જેમાંના કેટલાકમાં ગાયિકાના નામ તરીકે મિસ કલ્યાણીનો ઉલ્લેખ છે. ફિલ્મમાંનું એક ગીત પેરડી છે, જેમાં આગલા વરસોનાં બે સુપરહીટ ગીતોની પેરડી છે. ગાયક માસ્ટર દીન ઉર્ફે માસ્ટર સરફરાઝ અને સાથીઓ છે.
ગીતનો આરંભ ‘સાલન મેં બટાટે હૈ, છીલો છીલો’થી થાય છે, જે ૧૯૪૧ની ફિલ્મ ‘ખજાનચી’ના અતિ ખ્યાત ગીત ‘સાવન કે નઝારે હૈં‘ની પેરડી છે. મુખડા પછી તરત ટેમ્પો બદલાય છે અને ગીત શરૂ થાય છે ‘ચલ ચલ રે છુરી ચલ’. આ ગીત ૧૯૪૦ની ફિલ્મ ‘બંધન’ના પ્રખ્યાત ગીત ‘ચલ ચલ રે નૌજવાન‘ની પેરડી છે.
‘સાલન’ એક પ્રકારની ‘કરી’ છે, જે મૂળત: હૈદરાબાદી છે, પણ વિવિધ પ્રાંતોમાં પોતપોતાની રીતે ખવાય છે. આ ગીતમાં તેના વિવિધ સંદર્ભ છે. મઝાની વાત એ છે કે ‘સાલન મેં બટાટે હૈ’ પંક્તિઓ કેવળ મુખડા પૂરતી જ છે, એ પછીના ગીતના ભાગમાં ‘ચલ ચલ રે નૌજવાન’ના ગીતની પેરડીવાળા અંતરા છે.
ત્રીજી પેરડી ‘ઝિંદગી’ ફિલ્મના સાયગલે ગાયેલા ગીત ‘મૈં ક્યા જાનૂ ક્યા જાદુ હૈ‘ની પેરડી ‘તુમ ક્યા જાનો ક્યા, આલૂ હૈ’ છે. આમ, આ ગીતમાં કુલ ત્રણ ગીતની પેરડી છે. આ ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ – ભૂપેન ખખ્ખરની શૈલી પર ચિત્રકારોનો પ્રભાવ
બીરેન કોઠારી
ભૂપેન ખખ્ખરની ચિત્રશૈલી પર બે ચિત્રકારોનો મુખ્ય પ્રભાવ હોવાની વાત જાણીતી છે. એમાંના એક તે બ્રિટીશ ચિત્રકાર ડેવિડ હૉકની/David Hockney અને બીજા હતા ફ્રેન્ચ ચિત્રકાર હેન્રી રુસો/Henry Rousseau. આ બન્ને ચિત્રકારોનો સમયગાળો અલગ અલગ છે. હૉકની વીસમી સદીમાં થઈ ગયા, અને લગભગ ભૂપેનના સમકાલીન કહી શકાય. રુસો ઓગણીસમી સદીમાં, ઉત્તર પ્રભાવવાદ/Post impresionismના ગાળામાં થઈ ગયા.
ભૂપેન આ બન્નેની શૈલીથી પ્રભાવિત થયા હશે, પણ તેમણે કોઈની નકલ કરવાને બદલે પોતાની આગવી શૈલી નીપજાવી. હૉકનીએ પોપ આર્ટનો પ્રકાર અજમાવેલો, અને ભડકીલા રંગોનો પોતાનાં ચિત્રોમાં તેમણે ઉપયોગ કર્યો. ભૂપેનનાં ચિત્રોમાં જોવા મળતા ભડકીલા, પણ ભારતીય શૈલીના રંગો કદાચ હૉકનીમાંથી લેવાયેલી પ્રેરણા હોઈ શકે.

ડેવિડ હૉકનીએ ચીતરેલો લેન્ડસ્કેપ રુસોની શૈલી આદિમવાદ/Primitivism કહેવાય છે. આ પ્રકારના ચિત્રોમાં એક કેળવાયેલો કલાકાર જે પૂર્ણતાથી આકૃતિઓ ચીતરે તેનો અભાવ હોય છે. કંઈક અંશે અણઘડપણું આ શૈલીની ઓળખ કહી શકાય. ભૂપેનનાં ચિત્રોમાં આ શૈલી ઘણી વાર જોવા મળે છે.

ડેવિડ હૉકનીએ દોરેલું એક ચિત્ર 
Jungles in Paris by Henry Rousseau 
Henri Rousseau’s Dream અલબત્ત, ભૂપેનની મૌલિકતા તેમના ચિત્રોમાં જોવા મળતી ભારતીયતામાં હતી, જેમાં ભારત બહારના લોકોને વિશેષ રસ પડ્યો. વિકસવા મથતું શહેર, તેમાં હરતાફરતા માણસો, તેમના વ્યવસાય, તેમની જાતીય સમસ્યાઓ, તેમની મુશ્કેલીઓ, તેના થકી ઊભી થતી રમૂજી પરિસ્થિતો ભૂપેનનાં ચિત્રોમાં તેમના તીવ્ર નિરીક્ષણ થકી ઝળકવા માંડી.
અહીં હૉકની અને રુસોની શૈલી સાથે ભૂપેનની શૈલીના સામ્યનો અને તફાવતનો અંદાજ આવી શકે એટલા માટે બન્ને કલાકારોએ ચીતરેલાં બબ્બે ચિત્રો અને એકાદ ચિત્ર ભૂપેનનું મૂક્યું છે. એ જોઈને ખ્યાલ આવશે કે ભૂપેન કઈ રીતે મૌલિક હતા.

ભૂપેન ખખ્ખરે દોરેલું ચિત્ર
(તસવીરો નેટ પરથી કેવળ ચિત્રસંદર્ભ પૂરતી)
[ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
સંસ્પર્શ-૨૫
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
ધ્રુવદાદાએ તત્વમસિ નવલકથામાં માનવનાં માનવ સાથે, કુદરત સાથે, લોકમાતા નર્મદા જેવી નદી સાથે અને સમગ્ર સંસ્કૃતિ સાથેનાં અનોખા સંબંધોની વાત કરી છે. વાત આમ તો નર્મદા નદીની છે ,પરતું નદીની સાથે સાથે તેની આસપાસ વસતાં લોકોનાં જીવનની, સજીવ સૃષ્ટિની ,વનનાં સાગનાં વૃક્ષોની ,નર્મદાનાં પરિક્રમાવાસીઓની વાત પણ સંકળાયેલી છે. નદીને ભારતીય સંસ્કૃતિમાં માતાનો દરજ્જો કેમ આપવામાં આવ્યો છે? આપણી ગંગા, યમુના, નર્મદાને પગે લાગી તેનાં પાણીને ચરણામૃત કેમ કહીએ છીએ? કારણ ,આ નદીઓ માનવજીવનને કે બહોળા અર્થમાં તમામ પ્રકારના જીવનને ટકાવી રાખનારી,વિકસાવનારી શક્તિ જ નહીં તે એક સંસ્કૃતિના પરિવહનનું, પરિપક્વતાનું અને તેની સતત વધતી વિસ્તરતી જીવનગાથાનું અમરગાન છે.
નર્મદા કિનારાવાસીઓ માટે તે જીવનદાયિની છે. નવલકથાની શરૂઆતથી અંત સુધી સાંકળતી કડી સ્વરૂપે લોકમાતા નર્મદા અને તેની આસપાસનાં વિસ્તારોનું મનોહર વર્ણન દાદાએ કર્યું છે. તેમજ પરિક્રમાવાસીઓ સાવ અજાણ્યા હોય તે છતાં તેમને સાહજિકતાથી મદદરૂપ થતાં લોકોનાં સંવેદનાસભર સંવાદો દ્વારા દાદાએ નર્મદાતટવાસીઓનો પરિચય કરાવતાં સમગ્ર ભારતીય સંસ્કૃતિનો હૃદયંગમ પ્રભાવ ઊભો કર્યો છે.
બિત્તુબંગાનાં ભાઈ બંગાને ,જે વાઘણ ખાઈ ગઈ હતી, તે વાઘણનું મોં ગલસંટામાં ફસાઈ ગયું અને બિત્તુ તેને કુહાડી લઈ મારી નાખવા ગયો ,પરતું જ્યાં તેણે તેનાં નાનાં બચ્ચાંને જોયાં અને પોતે મા વગર ઉછર્યો હતો અને તે વેદના યાદ આવતાં એને વાઘણને છોડી દીધી. પોતે જીવેલી મા વગરની જિંદગી એને વાઘનાં બચ્ચાંઓને આપવી નહોતી.આ પ્રસંગ સાથે જ સાંકળેલ મહાભારતનો પ્રસંગ- દ્રૌપદીનાં પાંચપુત્રોને અશ્વત્થામાએ ઊંઘમાં સૂતા જ મારી નાંખ્યા છતાં જ્યારે અશ્વત્થામાને હણવાની દ્રૌપદી ના કહે છે અને કહે છે પુત્રહીનતાનું દુ:ખ શું હોય છે ?તે હું જાણું છું, કૃપીને એ દુ:ખ કદી ન મળો.આમ નવલકથાનાં આદિવાસી અભણ લોકો હોવા છતાં અને જેમણે શાસ્ત્રો ક્યારેય વાંચ્યાં નથી તેમનાં સંસ્કારોની ઉચ્ચતા દાદાએ કુશળતાપૂર્વક આલેખી છે અને તેની સાથે મહાભારતનાં પાત્રોની વાતની ગુંથણી સરસ રીતે રજૂ કરી છે.આમ નાયક આદિવાસી લોકોની કેવી કેવી સચ્ચાઈ અને પ્રામાણિકતાથી અભિભૂત થાય છે તેનાં ખૂબ સંવેદનશીલ સંવાદો દાદાએ સુપેરે પાત્રો દ્વારા રજૂ કર્યા છે.
નર્મદા નદી ભારતને બે ભાગમાં વહેંચેં છે તેવી માન્યતા સામે દાદા માને છે કે નર્મદા ઉત્તરાખંડ અને દક્ષિણાખંડને જોડીને એક સાથે રાખે છે. એક નદી સાથે વિકસેલી, નદી કિનારે પાંગરેલી અને તેના જ પુણ્ય પ્રતાપે હજીયે વિકસતી આપણી સંસ્કૃતિમાં તેનું મહત્વ અનન્ય છે એમ સમજાવતાં દાદા લખે છે, “અમરકંટકથી નીકળીને સમુદ્રને મળે છે ત્યાં સુધીમાં આ નદી કેટકેટલી શ્રદ્ધા ,કેટકેટલી સાંત્વના, કેટકેટલા પ્રેમ,આદર અને પુણ્યો સમાવતી દંતકથાઓનું સર્જન કરે છે. એક ઝરણ સ્વરૂપથી સાગરને મળવાના સમગ્ર પ્રવાસમાં તે પોતે બદલાય છે અને તેના સંસર્ગમાં આવનારનાં જીવન બદલી નાંખે છે.”
પાણીનાં એક પ્રવાહને એટલે જ આપણી સંસ્કૃતિમાં લોકમાતાનું બિરુદ અપાયું હશે!
નવલકથાની પરિપક્વ ક્ષણો સમયે નાયકનું માનસ પરિવર્તન ખૂબ સહજ જણાય છે.એમાં કોઈ એક પ્રસંગ કે ઘટનાનો ભાગ નથી,પરતું સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન તેણે અનુભવેલું એ નિતાંત આહ્લાદક સૌંદર્ય છે, જે ફક્ત માનવજીવનનું નથી,વનરાજીનું,પ્રાણીઓનું,માન્યતાઓ અને તેનાં અર્થઘટનનું અને સૌથી વધુ લોકમાતા નર્મદાનું છે.દરેક પરિક્રમાવાસીને નર્મદા દર્શન આપે જ છે એવી માન્યતાની તેમની આગવી પુષ્ટિ કોઈ ચમત્કાર નહીં ,સાક્ષાત્કાર બની રહે છે.
નવલકથાનાં અંતમાં નદીની અર્ધપરિક્રમાએ નીકળેલો નાયક કાબાઓ દ્વારા લુંટાઈ છે ત્યારે તેમના મને કરેલું અર્થઘટન સચોટ અને અર્થગર્ભિત છે. તેઓ કહે છે કે કાબાઓની માન્યતા છે કે પરિક્રમાવાસી સાધુઓને લૂંટવાની ,અરે ! તેમના વસ્ત્રો સુદ્ધાં લઈ લેવાની આજ્ઞા તેમને ‘મા’ નર્મદા આપે છે. કારણ “ભૂખ્યો તરસ્યો, જીવનનિર્વાહ માટે હવાતિયાં મારતો વસ્ત્રવિહીન પ્રવાસી ઝાડી પાર કરીને નગરમાં પહોંચશે ત્યારે તેના અહમના ચૂરેચૂરા થઈ ગયા હશે.સંન્યાસ શું છે? ત્યાગ શું છે? જીવન શું છે?આવા તમામ પ્રશ્નોનો જવાબ તેને સ્વયં મળી ગયા હશે.આવું સચોટ અને સત્યાર્થ રજૂ કરતી ફિલસુફી જ નવલકથાને બીજા કરતાં આગવી ઓળખ આપે છે. નવલકથાનાં બધાં જ પાત્રો શરૂઆતથી અંત સુધી આપણને લાગણીની અલગ સફરે લઈ જાય છે. આપણે પણ પાત્રોની સાથે નર્મદાની અને તેની આસપાસનાં જંગલોની ,આદિવાસીની ઝૂંપડીઓની સફરનો અનુભવ કરીએ છીએ. ગુણદોષથી ભરેલા તે આદિવાસીઓ શહેરનાં માણસથી જુદા પડે છે કારણ તે કુદરત સાથે જોડાએલ છે. કુદરત સાથેનો તેમનો સંબંધ સાવ નોખો છે , કારણ કુદરત તેમના અસ્તિત્વનો એક ભાગ છે.
આ સાથે ઘ્રુવદાદાની ચાર પંક્તિઓ-
“ક્યાં કહું છું હું અને તું એક હોવા જોઈએ,
માત્ર કહું છું કે પરસ્પર નેક હોવા જોઈએ.એમ ઠાલો શબ્દ કંઈ તાકાતવર હોતો નથી,
શબ્દના અવતાર અંદર છેક હોવા જોઈએ.સાવ પોતાને વિસારો એમ કહેવું દંભ છે,
પણ બધાંની દૃષ્ટિમાં પ્રત્યેક હોવા જોઈએ.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
