અમેરિકાના ત્રેવીસ વર્ષના વસવાટ પછી પાછા ભારત જઈ વસવાનું નક્કી કર્યું. એ નિર્ણય ખરેખર યોગ્ય સમયે લીધો અને એ સત્ય સાબિત થયું.
અત્યારે ભારતમાં વયસ્ક નાગરિકો માટે એટલી બધી સગવડ છે કે એકલા માણસને પણ રહેવાની કોઈ તકલીફ ના પડે. ઘરના દરવાજે બધી વસ્તુ મળી જાય. દુધવાળો ઘરે આવે, ઈસ્ત્રીના કપડાં લેવા ઘરે આવે. લેબ વર્ક માટે લોહી વગેરે ઘરે આવી લઈ જાય અને રિપોર્ટ પણ ફોનમાં આવી જાય. બ્લિન્કીટ, બીગ બાસ્કેટ, એમેઝોન જેવી વેબ સાઈટ પરથી શાકભાજીથી માંડી જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ ઘરના દરવાજે ઉપલબ્ધ હોય. ઘરના કામ માટે નોકર, અને ગાડી હોય તો ડ્રાઈવર અને નહિ તો ઉબર, ઓલા જેવી રીક્ષા, ટેક્ષી હાજર. જીવન જીવવું સહજ બની જાય. વાતચીત કરવા અને ધ્યાન રાખવા પાડોશી.
મારૂં જીવન પણ સરસ ગોઠવાઈ ગયું હતું. સાહિત્યની મારી ગમતી પ્રવૃતિ મળી ગઈ હતી, પણ સંતાનો હજી અમેરિકા અને કેનેડામાં હતા અને આ વર્ષે મારા જીવન અધ્યાયના ૭૫ વર્ષ પૂરાં થતા હતાં એટલે મારી પુત્રવધૂ (જે મારી દીકરી જ છે) દીકરાની પ્રબળ ઈચ્છા હતી કે હું અમેરિકા આવું. મારા જમાઈ દીકરી અને ખાસ તો પૌત્રી પણ આગ્રહ કરી રહ્યાં હતા.એમની આ પ્રેમાળ લાગણી સામે મારે નમતું જોખવું પડ્યું.
ન્યુ જર્સી મારા દીકરા વહુને ત્યાં આવી અને ઘર આખું મારા જન્મદિવસની ઉજવણી માટે શણગાર્યું હતું હજી એ અચંબામાંથી બહાર આવું ત્યાં તો બે દિવસ પછી જન્મદિવસની ઉજવણી ભાગ બીજો, મને બહામાસ ક્રુઝની ચાર દિવસની સફરની ભેટ.
મને ૨૦૦૦ની સાલ યાદ આવી ગઈ જ્યારે “કહો ના પ્યાર હૈ” પિક્ચર આવ્યું હતું, ત્યારથી મનમાં એક ઈચ્છા હતી કે દરિયા પર તરતું એક નગર અને એ મઝા મારે પણ માણવી છે! વિશાળકાય આગબોટના નવમા માળે અમારી રુમ હતી. પંદરમાં માળ પર ખાનપાન જોતા ધરાવ નહિ અને ખાતાં ધરાવ નહિ. એકવાર આગબોટમાં દાખલ થાવ એટલે એક અજાયબ જાદુઈ નગરીમાં આવી ગયા હો એવું લાગે. ચાર હજાર જેટલા પ્રવાસી અને ૧૬૦૦ જેટલા આગબોટ સંચાલન કરનાર અને સેવકો પણ ખબર જ ના પડે કે આટલા બધાં માણસો જહાજ પર છે. આગબોટ દરિયાની છાતી ચીરી આગળ વધતી જાય પણ આપણા પેટનું પાણી પણ ના હાલે. રમત ગમત, નાટકના શો, નાચગાન સહુ પોતાની મસ્તીમાં મશગુલ. બાલક્નીમાં બેઠા બેઠા દરિયાના પાણીના બદલાતા રંગ, સાથે સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાની મઝા. અકાશના અવનવા રંગો૧ ઓહોહો! હજી જાણે હું કેફમાંથી બહાર નથી આવી.
ન્યુ જર્સીથી મારી દીકરીને ત્યાં ગઈ તો જાણે મારું બાળપણ પાછું આવી ગયું. મીઠડી એવી મારી પૌત્રી નાની નાની કરતી મારી આસપાસ ઘૂમતી રહી. નાની મને શીરો બહુ ભાવે, બનાવશોને? હુમ તમને મારા હાથે પાસ્તા બનાવીને ખવડાવીશ. નાનિ મારે લઝાનિયા ખાવા છે, એવી તો કેટલીય ફરમાઈશ!
નાની કાલે આપણે ફરવા જશું પછી હું તમને સરસ હોટલમાં લઈ જઈશ. તમને કયું પરફ્યુમ ગમે એવી લાડભરી વાતો. હોટેલ પાસે પહોંચ્યા તો પપ્પાને કહે “તમે નાનીને ટિમ હોર્ટનની કોફી તો ચખાડો” કોફી પીને અમે હોટલમાં અંદર પહોંચ્યા તો મારા જન્મદિવસની તૈયારી. મને ભાવતી કેક અને મીણબત્તીથી ટેબલ શણગારેલું. ભેટ સોગાદ તૈયાર. મારી દીકરી બે વર્ષ પર મને મળવા ભારત આવી હતી ત્યારે સહજ જ વાત નીકળતાં મેં કહ્યું હતું કે “મારા કાનનું કાણું મોટું થઈ ગયું છે એટલે કોઈ બુટ્ટી પહેરાતી નથી” એ વાત એને યાદ હતી એટલે દીકરી જમાઈએ હીરાની કડી ભેટમાં આપી.
એક મહિનાની યાત્રામાં હ્યુસ્ટન આવી તો મારી બહેન બનેવી અમારું મિત્રમંડળ, બસ રોજ જન્મદિવસ ઉજવાતો રહ્યો. ખરે જ આ મારું સૌભાગ્ય આટલો પ્રેમભાવ બાળકો બહેન મિત્રો તરફથી મળ્યો.
આ જન્મદિવસ મારા માટે જીવનભરનું સંભારણું છે જેની શરૂઆત વડોદરા મારા ભાણેજ અને એના કુટુંબથી થઈ અને હજી તો ભારત પાચી ફરીશ ત્યારે મુંબઈ મારા મિત્રો આ પ્લેટીનમ જન્મદિવસ મારી સાથે ઉજવવા આતુરતાપૂર્વક મારી રાહ જોઈ રહ્યાં છે…….
મારી પાંચેક વરસની ઉંમરે મારાં માં હારે મારા સંવાદને “…સોનુ એટલે આમતો પિત્તળ જ ને” આજ સાતથી વધુ દાયકે ગર્ભાશય માંથી બા’ર કાઢું છ કારણ કે ૧૯૫૦ના દસકે સોળવલ્લો ટ્રોય તોલા (૧૧.૬૬ ગ્રામ) સોનાનો ભાવ રૂ. ૮૦-૧૦૦ વચ્ચે હતો ને આજ ૧૦ ગ્રામના તોલાનો ભાવ દોઢેક લાખ છે.
… તો વાત એમ છે કે ૧૯૫૪માં પપ્પાની બદલી દેલવાડાથી મેંદરડા થઇ ને અમે એને અમારું નવું પણ પોતાનું ગામ ગણ્યું કારણ કે કાઠિયાવાડની તસુ એ તસુ ભોમકા કાયમ કે’તી જ હોય છ, “મારી કાઠિયાવાડમાં કોક દી‘ તું ભૂલો પડ ભગવાન, તારાં એવાં કરું સન્નમાન કે તને સરગ ભૂલાવું શામળા.” આ ગામમાં અમારું પાંચેક ઓયડા, રસોડું, બાથરૂમ, અગાસી, રવેસ, વ. સગવડ વાળું ઘર માધુવંતી નદીની ધારે એક રળિયામણા દરબારગઢમાં હતું કે જેમાં નીચલા માળે સરકારી દવાખાનું હતું. દરબારગઢ હતો એટલે સૌથી આગળ ખીલા જડબેલો બે દરવાજાનો મૂળ ડેલો, પછી એક બીજો નાનો ડેલો ને માય “ગોઠણ ડેલી” ને એક ચોગાન એમ વટાવી ને અમારે ઘેર ને દવાખાને પુગાય.
આખા દરબાર ગઢમાં મૂળ ડેલા માય અમારા દી’રાત પાડોસી ઈ તાલુકા શાળામાં શિક્ષક બળદેવભાઈ જાની પરિવાર ને દી’ના ભાગે અલગ ચારેક ઓયડામાં ચાર ધોરણ લગીની રામકુંવરબેનની કન્યાશાળા બેસતી. મૂળ ડેલાની બાર ડાબી કોર આઘેરી ગામની મિડલસ્કૂલ, બે ઓયડીની જેલ ને ગર્યમાં માલધારીઓના ગોર પરસોતમભાઇ-નનકુબેનનો પરિવાર ને જમણી કોર સોનીનો વિશાળ ડેલો. આ ડેલામાં બે પરજીયા સોની ભાયું નાથાભાઈ-અરજણભાઈનો માયાળુ પરિવાર ઢોરઢાંખર હારે વસે. આ સંયુક્ત પરિવારમાં દીકરા, દીકરી, વહુઓ, પૌત્રો, પૌત્રીઓ એમ મળીને ત્રીસેક જણાં તો હશે જ કારણ કે આજ પણ મને વીસેક નામો તો હોઠે છે.
અમારે આ સોની કટમ્બ હારે જાડો ધરોબો કારણ કે મારી બેન ને હું નિશાળેથી આવી, દફ્તર ઘરમાં ફેંકીને આ સોનીના ડેલે બબલા, રતિયા, નટીયા, હસલા, વિનિયા, લીલી, ઇન્દુ, મધુ, વ. હારે અંધારું થાય યાં લગી ઋતુ અનુસાર રમતો રમતા ને સાતમ-આઠમથી લઈને દિવાળી લગી જુગાર રમતા. મારાં માં આ છોકરાઉનાં માં ગોમતીબેન-માનકોરબેન હારે રોજ એના ઘરની ફળીમાં બેસે ને હારે શાકબકાલું ને અનાજ ને ચોમાસે બીલીપત્ર વીણે. આ ઉપરાંત અમારા ને આ સોની પરિવાર વચાળે વાટકી વ્યવહાર પણ હતો. આજ સિંતેરથી વધુ વરસે પણ સોની પરિવારના જે કોઈ હૈયાત છે એને મારી બેન ને મારી હારે એટલો જ ઘેરો નાતો છે કારણ કે અમારા સબંધના પાયા નિસ્વાર્થ ને પ્રમાણિકતાના પાણાથી પુરાણા છ.
ધંધાની નજરે મારા પપ્પા તો સરકારી દાક્તર હતા ને નાથાભાઈ-અરજણભાઈને લીમડાચોકમાં શયારી સોનીની દુકાન હતી ને ગામમાં ઈ એક જ હતી. મેંદરડામાં ત્યારે કડવા કણબી ને ધાધલ કાઠીની વસ્તી જાજી એટલે આ બેય ભાયુંને સોના-ચાંદીના ત્યારનાં ઘરેણાં જેવાં કે નથ, દામણી, સસીફુલ, બોરલો, સેર, કાંબી, કડલાં, બલોયાં, રાયણમાળા, હાંસડી, તમિયા, ઠોળીયાં, ઝૂમણાં, વ. નું સોનીકામ જાજું રે’તું. અમે તાલુકા શાળાએ જાતા ત્યારે આ દુકાન આગળથી જાતા ને જોતા કે માલીકોર ઓજારમાં નાનાંમોટાં એરણ, હથોડી, પક્કડ, મૂસ, ફૂંકણી, ટોર્ચ, તાર ને પતરાં કાઢવાનો સેગડો, ઘાટ પાડવાની ટીલડીઓ, વ. ઉપીયોગમાં લેવાતાં. આ સોની ભાયુંના દીકરા પણ પાંચસાત ધોરણ ભણીને ધંધે બેસતા. વધુમાં, આ બેય ભાયું માંથી જ – એકેય દીકરો નહીં – એક ભાઈ સવારે ને બીજો સાંજે આખી દુકાનમાં સંજવાળી કાઢે ને કણી એ કણી ધૂળ દુકાનમાં પાછળ પીપડાઓમાં ભરે.
આસો મહિનાનાં અજવાળીયાં બેસે એટલે એટલે પીપડા માંથી રોજ બેત્રણ ડબ્બા ધૂળ બેય ભાયું મધુવંતી નદીમાં પે’લાં ચાયણામાં ને પછી બે હવાલામાંથી ચાળે, ચાળણને ધોતિયામાં ભરીને તારવે, ધોવે ને પછી એને નદીના આરે પાથરીને કોરું પાડે. આમ આખા વરસની ધૂળના ચાળણના ડબ્બા ઘેર સાચવીને ભોગળવાળા ઓયડામાં ભેગા કરે. પછી દિવાળી ઉતરે, શિયાળાની શરૂઆત થાય ને મધુવંતીએથી ટાઢા પવનના સુસવાટા શરુ થાય એટલે મને, મારી બેનને ને ઈ સોની પરિવારનાં છોકરાંઉને દી’ આથમે ફાનસના અજવાળે કામે લગાડે. આ કામમાં એકેક ડબ્બામાંથી ધોયેલ ધૂળ ઘરની વડીલ સ્ત્રી સાચવીને ત્રાંસમાં ઠલવે, એને પાતળા થરે પાથરે ને અમને દીધેલ વાટકીમાં અમારે આ ધૂળ માંથી પીળી, ચળકતી કણીઓ વીણીને વાટકીમાં ભરવાની ને ધોળી ચળકતી કણીઓને ધૂળમાં જ રે’વા દેવાની. મને યાદ છે કે હું, મારી બેન ને બીજાં છોકરાંઉ પોતપોતાની વાટકીમાં રોજ દસબાર આવી પીળી, ચળકતી કણીઓ ભેગી કરતાં ને વાટકીયું ગોમતીબેનને આપી દેતાં. અમારું આ કામ પતે એટલે રોજ છાલિયું ભરીને મસાલો ચડાવેલ મમરા ને તલસાંકળીની ઢેફલી ઘરની એકાદ વહુ અમને સૌને નાસ્તો દેતી. આ ધૂળ વીણવાનું કામ લગભગ મહિનો હાલતું ને એમાં અમે નર્યો આનંદ લેતા કે જે તે દિવસે કોને સૌથી વધુ ઈ પીળી કણી ધૂળ માંથી વીણી.
વખત ગ્યો, હું ત્રીજા ધોરણમાં આવ્યો ને એમાં ગુજરાતીમાં દલપતરામની કવિતામાં “તસ્કર ખાતર પાડવા ગયા વણિકને દ્વાર…” શીખ્યો ને એમાં અમારા માસ્તર શંકરભાઈ ક્યાંક “સોનું” શબ્દ બોલ્યા. ઘેર આવીને મેં મારાં માંને પૂછ્યું કે “સોનું એટલે શુ?” માંએ એટલું જ કીધું કે “તમે સોનીના ડેલે ધૂળ વીણીને જે પીળી, ચળકતી કણીઓ કાઢો છ ઈ.” મારું સામું વિધાન, “ઠીક. સોનું એટલે આમતો પિત્તળ જ ને, આપણા થાળીવાટકા જેવું.” માંએ મારા વિધાનનો કોઈ જવાબ નો’તો દીધો. બીજું, ત્યાર પછી બેએક વરસે મને ખબર પડી કે ઈ “ધોળી ચળકતી કણીઓ” કે જે અમે ધૂળ માંથી નોતા વીણતા ઈ ચાંદી હતી.
આજ મારા જીવનનો સાતમો દાયકો પૂરો થાવામાં છે ત્યારે મને એક જ વિચાર આવે છ કે પંખીના માળા જેવા મેંદરડામાં કળજુગ ત્યારે નહિ આંબ્યો હોય નીકર ઈ સોની પરિવાર અમને ત્રાયાત છોકરાંઉને માંબાપથી મળેલ પ્રમાણિકતામાં વિશ્વાસે ઈ ધૂળ વીણવા ન બેસાડ્યા હોત. “ઈ પીળી, ચળકતી કણી વીણો ઈ પારકી થાપણ છે એટલે સાચવીને વાટકી ગોમતીબેનને હાથોહાથ સોંપજો” કે’તાં મારાં માં મને આજે પણ આ લખું છ ત્યારે હજરાહજૂર દેખાય છ.
અરે રામ ! આ શું થયું ? અરે દુષ્ટ દૈવ ! આ તારો શો કોપ ? અરે ભગવાન ! મેં શું કીધું કે મારા ઉપર આટલી ઉપરાઉપરી આફત આવી પડી? રાજાએ તે દહાડે મને ગામ જવાનો હુકમ કીધો તેની મતલબ હવે સમજાઈ. તે દુષ્ટ ચંડાળનો મારૂં ઘરજ ઉખેડી નાંખવાનો વિચાર હતો, એવો કૃતઘ્ની રાજા પૃથ્વી ઉપર કોઈ થયો જ નથી અને થશે પણ નહીં. જ્યારે સારંગદેવ મરી ગયા ત્યારે તેને ગાદીએ બેસાડવાને કેટલી મહેનત કરવી પડી છે ? કેટલી યુક્તિઓ કામે લગાડવી પડી છે ? કેટલાં કાવતરાં કરવાં પડ્યાં છે ? અને એ બધું કર્યા પછી તેને ગાદી મળી ત્યારે તેણે કેવાં કેવાં મને વચન આપ્યાં છે ? પણ ત સઘળાં જુઠાં, ‘ગરજ સરી એટલે વૈદ્ય વેરી’ એ કહેવત પ્રમાણે થોડા વખતમાં મેં કીધેલો ઉપકાર તે ભુલી ગયો. હું જ મૂર્ખ કે એવા સાપના બચ્ચાને મેં દુધ પાઈને ઉછેર્યું કે તે મોટું થયા પછી પહેલાં તેણે મને જ ડંખ માર્યો. પણ એવી કૃતઘ્નતા પરમેશ્વર સાંખવાનો નથી, પણ ભવિષ્યની વાત શી કરવી ? હમણાં તો તેનાં દુષ્ટ કામનાં સારાં ફળ તે ભોગવે છે, જો તે દહાડે મેં મારી વહુની વાત સાંભળી હોત તો હું ગામ જાત નહીં, અને આ આફત કદાચ આવી પડત નહીં. પણ દૈવની સામે કોણ ડાહ્યા છે? લખીત વાત સો ભવે પણ મટતી નથી. વિધાતાના જે લેખ છે તે પ્રમાણે થયા વિના રહેતું જ નથી. પણ આવું દુઃખ સામટું કોઈને પડ્યું જ નહી હશે. સ્ત્રીને રાજા લઈ ગયો એટલું જ દુઃખ માણસનું અંતઃકરણ કોતરવાને બસ છે; પણ તેની સાથે આ તો મારો નાનો ભાઈ જેને મેં લાડથી ઉછેરેલો, જેને મેં મારા છોકરા જેવો જાણેલો, તે આવે અકાળ મોતે મુએ એથી તો સીમા વળી. અરે કેશવા, તને ધન્ય છે! તેં તારો જીવ આપ્યો, પણ જીવતો રહી આપણા ઘરની સ્ત્રીને પારકાના હાથમાં જવા ન દીધી. તેં તારા જોરનું સાર્થક કીધું. સબળે અબળનું રક્ષણ કરવું જોઈએ તેમ કરવામાં તેં તારો દેહ પાડ્યો તેથી તું હમણાં કૈલાસ લોકમાં બિરાજતો હોઈશ અને તે વિચારથી મારૂં દુઃખ અર્ધું ઓછું થાય છે. પણ એટલું પણ દૈવને બસ ન લાગ્યું. હમણાં જેઠાશાને મોતીશા આવ્યો, તેના કહેવાથી જણાયું કે ગુણસુંદરી સતી થઈ. ને તેના સ્વામીની સાથે બળી મોઈ. એથી હરખાવું કે શોક કરવો તે સમજાતું નથી. ઘર તો જડમૂળથી ઉખડી ગયું. વંશવૃદ્ધિની તો હવે આશા રાખવી ફોકટ. પણ નામ તો અમર રહેવાનું. ગુણસુંદરીના સ્વાત્માર્પણથી આખા કુળની, આખી ન્યાતની પ્રતિષ્ઠા વધી, અને મારી સાત પહેડી તરી. શી માણસની અવસ્થા છે ! મોટાઈ કેવી અનિશ્ચિત છે ! આજ છે અને કાલે નથી. જેવું બીડમાંનું સુકું ઘાસ, જેને બળતાં જરા પણ વાર લાગતી નથી; સૂર્યાસ્ત થતી વખતની જેવી છાયા, તે વખતે તો તે ઘણી મોટી દેખાય છે, પણ થોડી વાર પછી નહીં સરખી થઈ જાય છે; તે તો એક નિદ્રાનું સ્વપ્નું, જાગ્યા એટલે કાંઈ મળે નહી. દસેરાને દહાડે કેવી સ્થિતિ હતી, અને આજ કેવી? આશરે દશ કોશ સુધી દમ ખાધા વિના પગે ચાલીને હું ઈહાં આવી પહોંચ્યો. મારા બધા ચાકર, સિપાઈ આજ કયાં ગયા? હું તો એકલો ફરૂં છું, તો પણ હું જીવું છું એટલી મહાદેવજીની કૃપા છે. જો હું પણ મરી ગયો હોત તો એ દુષ્ટ રાજા સુખેથી બેસત. પણ હું હવે તેનો કાળ થઈ ભટક્યાં કરીશ. અને તેને એક દહાડો પણ ચેન પડવા દઈશ નહીં, એનું વેર લીધા વિના રહેવાનો નથી. અરે! ક્રોધપુત્ર વેર, તું મારી છાતીમાં જાગૃત થા. હવે તારૂં કામ છે. જ્યાં લગી આ દેહમાં આત્મા છે, ત્યાં સુધી તું છાતીમાં જ વાસ કરજે. વેર તો આખા જગતમાં પથરાયલું છે. કદાપિ કેટલાંક પુસ્તકોમાં તેની નિંદા કીધેલી હશે પણ તેથી કાંઈ તેની શક્તિ જરા પણ ઘટી નથી, નિર્જીવ પદાર્થો પણ વેર લે છે. જો હું આ ભીંત ઉપર મારો હાથ ઠોકું તો તે ભીંત મને સામું તેટલું જ મારે છે. તે શું વેર નથી લેતી ? કુતરાને પથ્થર મારીએ તો તે સામે ભસીને કરડવા નથી આવતો ? સાપને પગ તળે છુંદીએ તો તે આપણને કરડીને આપણો પ્રાણ નથી લેતો ? એ પ્રમાણે કયું અવાચક પ્રાણી જેનામાં વેર લેવાની શક્તિ છે તે તેને ઉપદ્રવ કીધા છતાં સામું વેર નથી લેતું ? વળી માણસને ધર્મશાસ્ત્રમાં ક્ષમા કરવી, દયા લાવવી, એ વગેરે બોધ થયા જ કરે છે, તો પણ તેઓ વેર લીધા વિના ચુકતા નથી. દેવતાઓ પણ વેર લે છે એવી વાર્તા આપણે પુરાણમાં કયાં નથી વાંચી ? વેર તો જગતનું રક્ષણ છે જો કોઈ વેર લે નહી તો દુનિયા ચાલે પણ નહી. જો કોઈ માણસને કોઈ ટપલો મારે તો તે સામા બે મારે છે; જો તેનામાં તેમ કરવાનું જોર નહી હોય તો જ ક્ષમા કરે છે, અથવા રાજા આગળ ફરિયાદ કરી તેને શિક્ષા કરાવે છે. એ તો अशक्तिमान भवेत साधु. જો એક માણસ બીજા કોઇનો કાંઇ માલ ચોરી જાય, અથવા તેને બીજી કોઈ પણ રીતે કાંઇ નુકસાન પહોંચાડે તો તેનું તે વેર લે છે. અથવા લેવડાવે છે. ડાહ્યા પુરૂષો કહે છે કે જો સઘળા લોકો પોતાના ઉપર ગુજરેલા અન્યાયને માટે પોતાની મરજી પ્રમાણે વેર લે તો દુનિયાની અવ્યવસ્થા થઇ જાય, અને જલદી તે લય પામે; માટે હરેક ગુન્હાને વાસ્તે રાજાને ફરીયાદ કરવી. અને જો તેનાથી દાદ ન મળે, તો પરમેશ્વર તરફથી ઈનસાફ મળશે જ એવો દૃઢ વિશ્વાસ રાખી બેસવું. પણ રાજા કાંઈ હમેશાં નિષ્પક્ષપતા હોતો નથી, અથવા ખરેખરો ન્યાય કરતો નથી, અને ઘણીએક વખતે તેમ થઈ શકતું પણ નથી. રાજા પોતે જ જ્યારે અપરાધી હોય, ત્યારે તેનો ઇનસાફ કોણ કરે ? કોઈ લાચાર થયા વિના પરમેશ્વરના ઇનસાફ ઉપર રહેવા દેતું નથી. એ તો મન વાળવાની વાત છે. જો મન મોટું રાખી આપણે હરેક ગુન્હેગારને ક્ષમા કરી જવા દઈએ તો દુનિયામાં ગુન્હેગારની સંખ્યા વધી જાય, અને જેટલા ગુન્હા થાય તે સઘળાનું પાપ આપણે માથે પડે. પરમેશ્વરની શિક્ષાથી થોડા જ બીહે છે. કોણ તે જોઈ આવ્યું છે ? જે સરકાર ઈનસાફ મુકી દઈને લોકોને કહે કે જે ગુન્હો કરશે તેનો બદલો તેને પરમેશ્વર તરફથી મળશે તો પછી ગુન્હો કરવાથી કેટલા અટકે છે તે જણાય. માટે વેર તો લેવું જ જોઈએ, અને જ્યારે આપણી બાબતમાં ગુન્હેગાર રાજા છે ત્યારે સ્વહસ્તે વેર લેવું, અને જો તેમ ન લેવાય તો જ તેને પરમેશ્વરને સોંપવો.
એવા વેરના તરંગ સિદ્ધપુરમાં રૂદ્રમાળાના દેવસ્થાનના સરસ્વતી નદી ઉપર જવાનાં પગથીયાંની પગથાળ ઉપર એક જુવાન માણસ રાતને વખતે ફરતો હતો તેના મનમાં ઉઠતા હતા. તેની છાતી ક્રોધથી ઉભરાઈ જતી હતી, અને તેનો ક્રોધ વ્યાજબી છે એમ જાણી સૃષ્ટિ પણ તેવી જ રીતે ક્રોધાયમાન દીસતી હતી. સરસ્વતી નદીમાં એટલું તો જોરથી પૂર વહેતું હતું કે તેમાં ઝાડનાં ઝાડ તથા મુએલ જાનવર ઘસડાઈ જતાં હતાં. આકાશ વાદળાંથી એવું તો ઘેરાઇ ગયલું હતું કે સામો માણસ અથડાય ત્યાં સુધી તેનું મ્હોં દેખાતું નહીં, વરસાદ પણ ઝરમર ઝરમર આવતો હતો, પવન એટલા જોરથી વાતો હતો, કે તેના ઘુઘવાટથી છાતી ધબકયા વિના રહે નહીં. તેની સાથે વાયુબળથી પાણી ગજગજ ઉંચાં ઉછળતાં હતાં. ઝાડો ભોંયની સાથે અફળાતાં, અને કેટલાંએક તો જડમૂળથી ઉખડી જશે એમ લાગતું હતું. આકાશમાં વિજળીના ઝળકાટ થઈ રહ્યા હતા, અને તેથી જ વખતે વખતે અજવાળું પડતું તે વડે રૂદ્રમાળાના કીર્તિસ્તંભ, તેનું નકશીદાર તોરણ, નાનાં નાનાં દહેરાંનાં શિખરો, વગેરે જણાતાં હતાં. વિજળી થઈ રહ્યા પછી ગર્જનાના કડાકા એવા તો જોરથી થતા કે તેના જોરથી તથા પવનથી બધું દેવસ્થાન તુટી પડશે એવી દહેશત લાગતી હતી. એવી વખતે, એટલે જ્યારે ઈશ્વર કોપાયમાન થયો હોય એવો દેખાવ ચોમેર થઈ રહ્યો હતો ત્યારે માણસ ક્રોધને વશ થાય એમાં શું આશ્ચર્ય ? એવે વખતે મનને શાંતિ થવાને બદલે તે વધારે જોશ ઉપર ચઢે. અને જેવો સઘળો દેખાવ કાળો તેવાં કાળાં કામ કરવાને મન પ્રવૃત્ત થાય એમાં શું નવાઈ ? એવી સ્થિતિ તે વખતે માધવના મનની હતી. તેનું શરીર ધ્રુજતું હતું, અને તેના મનની અવસ્થા તેના શરીરની અવસ્થા ઉપરથી જણાઈ આવતી હતી. તેણે મોતીશાના મ્હોંથી ફરી સઘળી વાત સાંભળી લીધી, અને તેથી ઉલટું અગ્નિમાં તેલ હોમાયું. આવી વખતે તેણે મોતીશાનો ઉપકાર પણ માન્યો નહી. જે વખતે માધવના તમામ મિત્રો તેને છોડી ગયા, તે વખતે એ શાહ પોતાનું ઘર, ધણીઆણી, છોકરાં, દોલત તથા બીજું સુખ તજીને પોતાના અસલ મિત્રને સહાય કરવા આવ્યો. જેના ઉપર રાજાની ઈતરાજી થઈ તેની પાસે ઉભા પણ રહેવું નહીં એવો જેઠાશાનો મત હતો, પણ તે ન જાણે તેમ શહેરમાંથી તે નીકળી આવ્યો, મિત્રાચારી તો એવી જ જોઈએ; અને એવી પ્રીતિ જુવાનીમાં જ્યારે અંતઃકરણ ગરમ હોય છે ત્યારે જ થાય છે. ઘડપણમાં જ્યારે સ્વાર્થનું જોર વધે છે ત્યારે પ્રીતિ ઓછી થાય છે, માટે ઘરડા માણસોમાં એવી મિત્રાચારી ક્વચિત જ હોય છે.
રાત ઘણી ગયા પછી મોતીશા તથા માધવ દહેરાંની એક ધર્મશાળામાં સુતા. પણ માધવને ઉંઘ આવે નહીં; વેર વેર તેના આખા શરીરમાં વ્યાપી ગયું હતું અને તે શી રીતે લેવું તેના વિચારમાં ને વિચારમાં તેણે પછાડા માર્યા કીધા. કેટલીએક વારે તે અર્ધ ઉંઘમાં પડ્યો, એટલે તેના સામી એક ઘણી રૂપાળી સ્ત્રી આવીને ઉભી રહી. તેનું તેજ એટલું હતું કે માધવની આંખ ઉઘડી ગઈ અને તે બોલ્યો: “વેરદેવી, તું માનવ હોય કે દાનવ, મૃત્યુલોકમાંની કે સ્વર્ગલોકમાંની ગમે તે હોય, પણ દુષ્ટ કરણ રાજાનું વેર શી રીતે લેવું તે બતાવ.” સ્ત્રી બોલી “અલ્યા માધવ ! તું નાગર છે તેથી તું મારો આશ્રિત છે. હું જગતની માતા, અંબા ભવાની છું, અને મારો વાસ આરાસુર પર્વતની ઉપર છે, માટે તું મારૂં દર્શન કરવાને ત્યાં આવજે એટલે હું તને શું કરવું તે બતાવીશ.” એવું કહી માતાજી અદૃશ્ય થઈ ગયાં, અને માધવ આસપાસ જોવા જાય છે તો ત્યાં કાંઈ જ દીઠું નહી. માધવને હવે નક્કી થયું કે માતાજી મને સહાય થશે, માટે કાલ સવારે ઉઠીને તેનાં દર્શન કરવા જવું, પછી ત્યાંથી જે ઉપદેશ મળશે તે પ્રમાણે ચાલીશ.
એટલો નિશ્ચય કીધાથી તેને જરા શાંતિ થઈ. આખા દહાડાનો થાક લાગ્યો હતો, તથા તેના મનમાં જે ઉથલપાથલ થઇ રહી હતી, એ સઘળાંથી તેના મગજ ઉપર અસર થઇ, તેથી તે નિદ્રાને વશ થયો, અને જ્યારે સૂર્યોદય થયો, અને તડકો તેની આંખ ઉપર આવવા લાગ્યો, ચ૯લીઓ તથા બીજાં પક્ષીઓ શોરબકોર કરવા લાગ્યાં, અને દહેરામાંના સાધુ વેરાગી મોટા અવાજથી રાગ ગાઇ આણીગમ તેણીગમ ફરવા લાગ્યા, ત્યારે જ તે ઉઠ્યો. ઉઠતાં જ વાર ગામમાં જઈ તેણે બે ઘોડા વેચાતા લીધા અને સવારના કામથી પરવારી તે તથા મોતીશા ઘોડાઉપર સવાર થઈ માતાજીના સ્થાનક તરફ જવા નીકળ્યા. મોટે રસ્તે જાય તો રાજાના માણસોના જોવામાં આવે, માટે તેઓ સરસ્વતીને કિનારે કિનારે ચાલ્યા. થોડા દહાડા તો વસ્તીવાળો મુલક આવ્યો, પણ જેમ જેમ તેઓ સરસ્વતીના મુખ આગળ આવતા ગયા તેમ તેમ જમીન વધારે પહાડી તથા જંગલી થતી ગઇ. થોડીએક વાર તેઓનો રસ્તો એક જંગલી પણ રમણીક તથા ફળવાન ખીણમાં થઈને હતો. તે ખીણની આસપાસ ઝાડોથી ઢંકાયલા પહાડો ચોતરફ હતા. આ ઠેકાણે આ એકાંત નદીને કિનારે કિનારે તેઓ ચાલતા હતા તે વખતે સાંજ પડી ત્યારે અઘોર રાન વધારે ભયાનક દીસવા લાગ્યું. વાઘ, વરૂ, શિયાળ ઈત્યાદિ જંગલી જાનવરોનો અવાજ થવા માંડ્યો. અને તેઓની આસપાસ કાળા અને નાગા વનના માણસો કોઈ આઘા ગામોમાં નોબત વગાડતા તેનો કઠોર અવાજ તેઓને કાને પડ્યો. એટલામાં આઘે એક બળતું થયલું નજરે પડયું. ભીલ લોકો તેઓની દેવીને બળીદાન આપતા હતા, અને ભડકું સુકાં લાકડાંમાંથી નીકળીને એક પહાડથી બીજા પહાડ ઉપર મોટા સર્પની પેઠે વિંટળાતું દેખાતું હતું. એવે રસ્તે થઈને તેઓ અંબા ભવાનીના દેવસ્થાન આગળ સરસ્વતી નદીના મુખની પાસે કોટેશ્વર મહાદેવનું દેવાલય છે ત્યાં પહોંચ્યા. અને મહાદેવનાં દર્શન કરી ત્યાં રાત રહ્યા.
બીજે દહાડે, અંબા માતાના દહેરાં તરફ જવાનો રસ્તો ઘણો વિકટ, તથા ત્યાં ચોર અને વાઘનો ભય ઘણો હોવાથી, ચક્રાવો ફરી પહાડની તળેટી ઉપર દાંતા ગામ અંબા માતાના ઘણા માનીતા પરમાર રાજાઓનું હતું ત્યાં તેઓ પહોંચ્યા. તે વખતે માતાજીનો જાત્રાનો વખત ન હતો તોપણ કેટલાંએક માણસો માનતા ચઢાવવાને જતાં હતાં તેઓ તે બંનેને મળ્યાં. તેમની સાથે બીજે દહાડે સવારે પહાડ ઉપર ચઢવા માંડ્યું. ચઢાવ ઘણો લાંબો પણ સરળ હતો, તોપણ ઠેકાણે ઠેકાણે ખડબચડો તથા વાંકો ચુંકો હતો. જાત્રાળુ લોકોએ રાતા, પીળા, ધોળા, ઈત્યાદિ નાના પ્રકારના રંગનાં વસ્ત્ર પહેરેલાં હતાં. કેટલાએક પાસે ચળકતી તરવારો હતી, કેટલાએકનાં અંગ ઉપર ઝળકતાં સોનાનાં ઘરેણાં ઘાલેલાં હતાં, તે સઘળાં તડકામાં ચળકતાં હતાં. તેઓ રસ્તે ચાલતા ત્યારે મેદાન આવતું તેમાં લાંબી હાર દેખાતી, કેટલીએક વાર તો રંગબેરંગી પહાડોથી થોડા ઢંકાઈ જતા. અને કોઈ કોઈ વાર તો ઝાડાના ઓથામાં આવ્યાથી બિલકુલ નજરે પડતા ન હતા. ચઢાવના ઘણા સીધા ભાગની વચ્ચોવચ એક જુની વાવ હતી, ત્યાં સંઘે થોડીવાર મુકામ કીધો. પછી પાણી પી તાજા થઈને આગળ ચાલ્યા, અને ઉદાસ તથા ઉજજડ ટેકરામાંથી નીકળી રમણીય મેદાન ઉપર આવ્યા. તે વખતે આરાસુરના સુગંધીદાર પવનની લહેરોથી તેઓને આનંદ થયો. તે વખતે સંઘમાંના આગળ ચાલનાર લોકોએ બુમ પાડી કે દહેરૂં પાસે આવ્યું. એ બુમ સાંભળતાં જ સઘળા પોતપોતાના ઘોડા ઉપરથી ઉતરી પડ્યા. અને જમીન ઉપર લાંબા થઈ પગે લાગીને “જય અંબે, ” “જય અંબે,” “ અંબે માતકી જય.” એવી બુમ પાડી ઉઠયા. દહેરૂં આરાસુરના પહાડમાં આરાવલી પર્વતની શાખા જ્યાં નૈઋત્ય કોણમાં પુરી થાય છે ત્યાં હતું. તે દહેરું નાનું હતું, અને બીજાં કેટલાંક નામાંકિત દહેરાં કરતાં ઓછું શોભાયમાન હતું. તેની આસપાસ મજબુત કોટ હતો, તેમાં દેવીના પૂજારા, નોકર ચાકરો તથા જાત્રાળુ લોકોને રહેવાને માટે ધર્મશાળાઓ હતી. તેમાં એક નાનું લશ્કર પણ રહેતું હતું, પણ માણસના બળ તથા શસ્ત્રવડે અંબા માતાનું રક્ષણ થાય છે એમ ના કહેવાય માટે બહાર દરવાજો રાખવાને અંબા માતાએ ના કહી હતી. આ દહેરામાં જેનું પૂજન થતું હતું તે મહાદેવની પત્ની, હિમાચળ તથા મેનાની પુત્રી દુર્ગા હતી, ચાંપાનેર આગળ પાવાગઢ ઉપર તેનું ઉગ્ર તથા સર્વ ભક્ષક કાળકાનું રૂપ છે તેવું ત્યાં નહતું પણ ભવાની એટલે સ્વયંભૂની કામ કરવાની શક્તિનું તથા અંબાજી એટલે સૃષ્ટિની માનું રૂપ હતું. આરાસુરનું દહેરું ઘણું પ્રાચીન કાળથી ત્યાં હતું. એવું કહેવામાં આવે છે કે એ ઠેકાણે જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન બાળક હતા ત્યારે તેના વાળ લેવડાવ્યા હતા, અને ત્યાર પછી જ્યારે રૂક્ષમણીને શિશુપાળની સાથે પરણવા ન દેતાં તેને ભગવાન લઈ ગયા, ત્યારે તે દેવીનું પૂજન કરવા આવી હતી તે આ ઠેકાણે જ આવી હતી. હજારો વર્ષ થયાં જાત્રાળુ લોકો ત્યાં આવતા તેથી સઘળું આંગણું ઘસાઈ ગયું હતું.
એ દહેરામાં માધવ અને મોતીશા આવ્યા, એક ધર્મશાળામાં ઉતર્યા, અને રસોઈપાણી કરી થાક ખાઈ સાંજની વખતે માતાજીનાં દર્શન કરવા ગયા. માતાજીનું સ્વરૂપ જુદા જુદા લોકોને જુદું જુદું દેખાય છે ખરૂં, પણ માધવને તો જુદાં જ દર્શન થયાં. માતાનો વેશ મ્લેચ્છનો હતો, તેના એક હાથમાં ખડગ હતું, અને બીજા હાથમાં એક માણસની ચોટલી હતી, માતાનું આવું રૂપ જોઈને તે આશ્ચર્ય પામી ઉભો રહ્યો, અને વધારે જોય છે એટલામાં તો માણસ જોર કરી માતાજીના હાથમાંથી નીકળી ગયો, અને તેના હાથમાં તેની ચોટલી રહી ગઈ એવું દીઠું, તેનો અર્થ શું હશે એ વિષે તે ઉંડા વિચારમાં પડ્યો, એટલામાં સિદ્ધપુરનો રૂદ્રમાળાની ધર્મશાળામાં આવેલું સ્વપનું તેને યાદ આવ્યું, તે ઉપરથી તેણે અટકળ કીધી કે મ્લેચ્છનો અર્થ મ્લેચ્છ અથવા તર્ક લોકોને દિલ્હીનો રાજા, અને પેલો માણસ એટલે ગુજરાતનો કરણ રાજા, એ ઉપરથી દિલ્હીનો તુર્ક રાજા કરણને સપડાવશે, પણ તે તેનું રાજ મુકીને નાસી જશે – એ શિવાય બીજો કાંઈ અર્થ દેખાતો નથી, માતાજીએ વેર લેવાનો રસ્તો બતાવ્યો તો ખરો, માટે હવે દિલ્હી જવું અને ગુજરાત ઉપર ચઢાઈ કરવાને ત્યાંના સુલતાનને વિનંતિ કરવી, એવી રીતે તેનો ખુલાસો થયો, તેથી તે ઘણો આનંદ પામીને માતાજીને પગે પડ્યો. પછી ફુલના હાર, નાળીએર, પૈસા, તથા ઘરેણાં માતાજીને ચઢાવ્યાં. વળી તેણે વસ્ત્ર નિશાન, સોના રૂપાનાં વાસણ, ઘંટ, અને માતાની પૂજાનો બીજો કેટલોએક જરૂરી સામાન અર્પણ કીધો. રાત્રે માતાને થાળ મોકલી તેમાં બકરાં, મુરઘાં, ઈત્યાદિ માતાને બળીદાન આપી શકાય એવાં પ્રાણીઓનું માંસ તથા મદિરા મુકેલાં હતાં, માધવ જ્યાં સુધી ત્યાં રહ્યો ત્યાં સુધી ખાવામાં અથવા બીજા કોઈ પણ કામમાં તેણે તેલ વાપર્યું નહી. સઘળે ઠેકાણે તેણે ઘીનો જ ઉપયોગ કર્યા કીધો. માતાજીને માધવે ઘણી કિમતી બાધા ચઢાવી તેથી રાત્રે તેને ચમર કરવા દીધી, તેના બદલામાં વળી તેણે સિદ્ધપુરના ત્રણ ઔદિચ બ્રાહ્મણો ત્યાંના પૂજારી હતા, અને જેઓએ તે કામ દાંતાના રાણાને કેટલાએક પૈસા આપવા કબુલ કરી ઈજારે રાખ્યું હતું, તેઓને કાંઈ આપ્યું. તેઓએ તેને પહેલાં દર્શન કરતી વખતે ચાંલ્લો કીધો હતો.
બીજે દહાડે તેણે તેઓને તથા બીજા બ્રાહ્મણોને સારી પેઠે મિષ્ટાન્ન લેવડાવી તૃપ્ત કીધા, અને યથાયોગ્ય દક્ષિણા આપી જાત્રા પુરી થઈ તેની નિશાનીને કંકુને હાથો તેના ખભા ઉપર દેવડાવ્યો. હવે બીજું કાંઈ કામ રહ્યું નહી, તેથી પાસે માનસરોવરના કાંઠા ઉપર અપરાજીત માતાનું દહેરૂં છે ત્યાં તે દર્શન કરવા ગયા. ત્યાંથી આવ્યા પછી અંબા ભવાનીના દેવસ્થાનની પશ્ચિમે આશરે એક કોશ ઉપર એક પહાડ હતો તે ઉપર ગબરગઢ નામનો કિલ્લો તે વખતે હતો તે જોવાને તેઓને વિચાર થયો. તે પહાડ આગળ નાના નાના ટેકરા એવી રીતે આવી રહેલા હતા કે જે કોઈ તેને આઘેથી જોય તો ત્યાં એક મોટો કમાનદાર દરવાજો હોય એમ લાગે. તે ઉપરથી એવી કથા ચાલે છે કે અંબામાતા તે પહાડના પોલાણમાં રહે છે. જ્યારે માધવે ત્યાં પૂજારીને તે જગાનો મહિમા પુછ્યો, ત્યારે તેણે નીચે પ્રમાણે એક વાત કહી, “કોઈ વખત ઉપર માતાજીની ગાયો ગોવાળીયાની બીજી ગાયોની સાથે આખો દહાડો ચરતી, અને રાતની વખતે આ પહાડમાં પાછી આવતી, એ ગાયો કોની છે તે જાણવાનું પેલા ગોવાળીયાને ઘણું મન થયું, અને ગમે તે થાય તો પણ એ ગાયનો ધણી શોધી કાઢી તેની પાસેથી ચરામણી માગવાનો તેણે નિશ્ચય કીધો. એક સાંજરે જ્યારે ગાય ધારા પ્રમાણે પોતાના ઘેર તરફ વળી, ત્યારે ગોવાળીયો તેની પાછળ ગયો, અને તેની સાથે પહાડમાં પેંઠો. પહાડમાં પેંઠા પછી એક અતિ શોભાયમાન મહેલ આવ્યો, અને તેમાં ઘણા વિશાળ ઓરડાઓ દીઠા, મુખ્ય ઓરડામાં એક હિંડોળા ઉપર માતાજીને બેઠેલાં જોયાં, તેની આસપાસ તેની ઘણીએક સખીઓ હતી. ગોવાળીયો હિંમત પકડીને માતાજી આગળ ગયો, અને પુછ્યું કે આ ગાય તમારી છે? તેણે હા કહી. તે ઉપરથી ગોવાળીયાને વધારે બોલવાની હિંમત આવી. તે બોલ્યો:– “મેં આ ગાયને બાર વર્ષ થયાં ચરાવી છે, માટે હવે મને તેની ચરાઈ આપવી જોઈએ.” માતાજીએ તેની પાસે એક બઈરી ઉભી હતી તેને આજ્ઞા કીધી કે ભોંય ઉપર જવનો ઢગલો પડેલો છે તેમાંથી થોડાએક તેને આપો, તેણે એક સુપડું જવે ભર્યું, અને ગોવાળીયાને આપ્યું. તેણે તે લીધું, અને નાઉમેદ થઈને તથા ખીજવાઈને ઘરની બહાર નીકળ્યો, અને આંગણું આગળ જવ ભોંય ઉપર નાંખી દીધા. પોતાને ઘેર જઈ જોયું તો તેના લુગડાં ઉપર ઘણી ઉંચી જાતના સોનાના કેટલાએક રવા વળગેલા જોયા. ગોવાળીયાએ બીજે દહાડે ફરીથી પહાડમાં પેસવા માંડયું, પણ તેને રસ્તો જડ્યો નહી, અને માતાજીની ગાય પણ ફરીથી ચરવા આવી નહી.”
અંબાજીની પાસે એક નાની નદી ઉપર જંગલી ચંપેલી તથા બીજાં સુગંધીદાર કુલોની એક વાડી જેવું હતું ત્યાં કેટલાંએક સુંદર સફેદ આરસ પહાણનાં બાંધેલાં જૈનધર્મનાં દહેરાં હતાં, ત્યાં જવાનો મોતીશાએ આગ્રહ કીધો, અને તે જૈન થઈને તેની સાથે અંબાજી આવ્યા માટે તેના દહેરાં આગળ ગયા વિના માધવને ચાલે નહી, તેથી તેઓ બંને ત્યાં ગયા. એ દહેરાં વિષે જે દંતકથા તેઓએ સાંભળી તે નીચે પ્રમાણે હતી:– “વિમળશાને માતાએ ઘણું દ્રવ્ય આપ્યું તેથી તેણે ત્યાં પારસનાથનાં ત્રણસેં ને સાઠ દહેરાં બાંધ્યાં; પછી માતાજીએ તેને પૂછ્યું કે એ દહેરાં તેં કોની સહાયતાથી બાંધ્યાં ? ત્યારે તેણે જવાબ દીધો કે ગુરૂની સહાયતાથી. માતાજીએ એને એ પ્રશ્ન ત્રણ વાર પૂછ્યો, પણ ત્રણે વાર તેણે એને એ જ જવાબ દીધો. ત્યારે તેણે તેને કહ્યું કે, “અલ્યા, જેમ નસાય તેમ નાસ.” એક દહેરાંનું ભોયરું જેમાં થઈને દેવલવાડાનાં દહેરાંનાં ભોંયરામાં જવાતું હતું તેમાં તે ઉતર્યો, અને નીચેની સણગમાં થઈને આબુ પહાડ ઉપર નીકળ્યો, પછી માતાજીએ પાંચ સિવાય બધાં દહેરાં બાળી મુકયાં, અને એ વાત સૌ કોઈના જાણ્યામાં આવે માટે તે પાંચ જ રહેવા દીધાં, જે ત્રણસેં ને પંચાવન દહેરાં બાળી મુકયાં તેના બળેલા પથ્થર ભોંય ઉપર પડેલા હતા, તે જોઈ શાહને પક્કી ખાતરી થઈ કે શ્રી અંબાજી કોપાયમાન થઈને તેણે એ દહેરાં બાળી મુકયાં, તેથી તેણે આબુના દેવલવાડામાં એક દેવસ્થાન બાંધ્યું તે ઉપર માતાજીને શાંત કરવાને નીચે પ્રમાણે કેતરાવ્યું.
“તારા પાતરાં જેવા હાથ અશોકનાં ઝાડનાં પાતરાં જેવા રાતા છે. તું અતિ ઘણું સુંદર દીસે છે. તારો રથ કેસરી સિંહ ચલાવે છે. તારા ખોળામાં બે છોકરા છે, એવી તું સતી અંબિકા સદ્દગુણી પુરૂષોના પાપનો નાશ કર.”
“એક વાર રાત્રે વિમળશાને શાણી અંબિકાએ આજ્ઞા કીધી કે આ પહાડ પા૫રહિત જગા છે તે ઉપર યોગનાથનું એક સારૂં દહેરૂં બાંધ.”
“શ્રી વિક્રમાદિત્ય પછી એક હજાર અઠ્યાસી ચોમાસાં ગયાં એટલે ઈ. સ. ૧૦૩૨ માં અર્બુદાના શિખર ઉપર શ્રી આદિદેવનું વિમળે સ્થાપન કીધું તેને હું પૂજું છું.”
એ દહેરાંમાં મોતીશા તથા માધવે દર્શન કીધા પછી ત્યાંથી આબુના પહાડ ઉપર જવાનો તેમણે ઠરાવ કીધો. રસ્તો ઘણો જ રમણિક હતો. એક નાના નાળાની કોરે કોરે તેઓ ચાલ્યા. આકાશમાં એક પણ વાદળું નહતું. અમરાઈમાંથી કોયલો ટઉકો કરતી હતી. જગલનાં બીજાં પક્ષી વાંસની ઝાડીમાંથી સાદ કરતાં હતાં; અને તિતરનાં ટોળેટોળાં ઝાડ ઉપર બેસીને હોલાઓની સાથે આનંદથી સંવાદ ચલાવતાં હતાં. લક્કડખોદ ઝાડનાં થડ ઉપર તેઓની કઠણ ચાંચ ઠોકતી હતી તેના અવાજથી આખું વન ગાજી રહ્યું હતું. ત્યાં નાના પ્રકારનાં સુંદર ફુલ તથા સ્વાદિષ્ટ મેવા નજરે પડતાં હતાં. ઝાડ ઉપર ચઢતી વેલનાં ધોળાં તથા પીળાં ફુલોમાંથી મધમાખીઓ મધ કાઢતી હતી. ત્યાં કોઈ માણસની વસ્તી નહતી. કોઈ કોઈ વાર કોઈ રજપૂત સવાર ઢાલ બાંધીને તથા ભાલો હાથમાં રાખીને અંબાજીનાં દર્શન કરવા જતો હોય તે જોવામાં આવતો; અથવા કોઈ તળાવની પાસે વણજારાઓ ગુણ નાંખીને બળદ છુટા મુકીને પડેલા હતા તે નજરે આવતા હતા. આગળ ચાલતાં એક સપાટ ખીણ આવી તે રેતાળ હતી, પણ તેમાં ઠેકાણે ઠેકાણે ખેડાણ હતું. વળી રસ્તામાં અનાજનાં ખેતર આવતાં, અને વખતે વખતે નાનાં ગામો દેખાતાં, અને આઘેના પહાડમાંથી નીકળેલી નદીઓ વહેતી નજરે પડતી હતી. ત્યાંથી ધુમસે ઘેરાયલો આબુ પહાડ દેખાયો, તેની બાજુએ ઉપર ઝાડ તથા ઝાડી અને નાની નદીઓ દેખાવા માંડી. આગળ જતાં એક ટેકરી ઉપર દોરા જેવો રસ્તો દેખાયો, તે કોઇ ઠેકાણે ચઢતો અને કોઇ ઠેકાણે ઉતરતો હતો. એ રસ્તા ઉપર ઝાડીની ઘટા આવી રહી હતી. તેમાં ચઢતાં ચઢતાં એક કરાડાની નીચે એક મેદાન આવ્યું; ત્યાં ઘણાં શોભાયમાન ઝાડોની વચ્ચોવચ વશિષ્ઠ મુનિનું દહેરૂં હતું; તે દહેરાંની વાડીમાં માધવ તથા મોતીશા થાક ખાવાને ઉતર્યા. એ વાડીમાં ઘણાં સુગંધીદાર ફુલો ઉગેલાં હતાં, તેમાં કેવડાથી તમામ જગા બહેંક બહેંક થઇ રહી હતી. વળી ત્યાં એક પથ્થરના ખડકમાં ગાયનું મ્હોં કોતરેલું હતું, તેમાંથી પાણીને ધોધવો પડી નીચે એક મોટી ટાંકલીમાં પડતો. તેથી કર્ણેન્દ્રિયને પણ ઘણો આનંદ થતો હતો.
મુનિનું દહેરૂં નાનું હતું તેમાં વશિષ્ઠ જેણે અચલેશ્વરના અગ્નિકુંડમાંથી રજપૂતના મૂળ પુરૂષોને કાઢ્યા તે મુનિની કાળા પથ્થરની મૂર્તિ હતી. ત્યાં સવારે, બપોરે અને સાંજરે નોબત વાગતી હતી. તેના નાદથી તે જગ્યા ઘણી રણિયામણી લાગતી હતી. વશિષ્ટમુનિના દહેરા આગળ પથ્થરમાં લાંબાં પગથીયાં કાપી કાઢેલાં છે તે ઉપર થઈને ઉંચે ચઢવાનું હતું. તે ઉપર ચઢતાં ચઢતાં તેઓ આખરે આબુના સપાટ મેદાન ઉપર પહોંચ્યા. તે ઠેકાણે તેઓ ગયા ત્યારે જાણે એક નવા જગતમાં, વાયુમાં તરતા એક બેટમાં આવ્યા હોય એમ તેમને લાગ્યું. તેઓની આસપાસ ચોતરફ ઉંચીનીચી ટેકરીઓ હતી તે ઉપર નાનાં મોટાં ગામો હતાં. તેમાં એક સરોવર હતું, અને એક કરતાં વધારે નાળાં હતાં. તે સઘળી ટેકરીઓમાં સૌથી ઉંચી ટેકરી ઉપર એક મુનિનું નાનું દહેરૂં હતું તે ઉપરથી તેને મુનિનું શિખર કહેતા હતા; અને બીજી એક ટેકરી ઉપર અચળગઢનો પ્રસિદ્ધ કિલ્લો હતો.
આબુના સઘળા પહાડોમાં સૌથી ઉંચો મુનિ-શિખર હતો. તે ઉપર માધવ તથા મોતીશા ચઢ્યા. જ્યારે તેઓ ઉપર ગયા ત્યારે દક્ષિણ તરફથી ઠરી જવાય એવો ટાઢો પવન આવવા લાગ્યો તેથી તેએાએ કાળી કામળી શરીર ઉપર વિંટાળી અને એક ટેકરીની પાછળ ભરાઈને ભોંય ઉપર લાંબા થઈને સુતા. દેખાવ ઘણો ભભકાદાર તથા સુન્દર હતો. તેઓના પગ નીચે વાદળાં આવી રહ્યાં હતાં. અને તેમાંથી સૂર્યનાં કિરણ નીચે ઉતરતાં હતાં. એ ઉંચી, આંખે તમ્મર આવે એવી, ટોચની ઉપર એક નાનું ગોળ મેદાન હતું, તેની આસપાસ એક નીચો કોટ હતો. એક બાજુએ આશરે દશ ગજ ચોરસ ગુફા હતી તેમાં એક મોટો કાળો પથ્થર હતો તે ઉપર વિષ્ણુનો અવતાર જે દત્તભૃગુ તેનાં પગલાં હતાં, તે પાદુકા પૂજવાને માટે જ મોતીશા આટલું જોખમ ખમી ઉપર ચઢ્યો હતો, અને બીજા ખુણામાં સીતાભક્તોના મહાન્ ગુરૂ રામાનંદની પાદુકા હતી. આ ભયાનક સ્થલમાં તે પંથનો એક સાધુ હતો તેણે એક ઘંટ વગાડવા માંડ્યો, અને જ્યારે માધવે તેને દક્ષિણા આપી ત્યારે જ તે ઘંટ વગાડતો બંધ થયો. સાધુની પાદુકાની આસપાસ જાત્રાળુ લોકોની લાકડીઓનો ઢગલો પડ્યો હતો. તેઓ આટલી હિંમત ચલાવી ઉપર આવ્યા તેની યાદગિરીને વાસ્તે તે ઢગલો ત્યાં રાખવામાં આવ્યો હતો. પહાડના ઘણાએક ભાગમાં અગણિત કોતરો હતાં, તે ઉપરથી જણાતું હતું કે ત્યાં આગળના કાળમાં ગુફામાં રહેનાર માણસોની વસ્તી હશે; અને બીજાં ઘણાએક ગોળ બાકાં હતાં તે તોપના ગોળાને વાસ્તે કીધેલાં હોય એમ લાગતું હતું. તે વખતે ચોમાસું તરત જ ગયલું હતું, અને હવા ઘણી સ્વચ્છ હતી તેથી કોઈ કોઈવાર જોધપુરનો કિલ્લો, અને લુણી ઉપરના બાળોવા શહેર સુધીનું રેતીનું મેદાન દેખાતું હતું એટલે દૂર સુધી તો આખો દહાડો નજર પહોંચતી નહતી, તે પણ ભિત્રાલની ફળવાન ખીણ સિરોહી સુધી દેખાતી, તથા પૂર્વ તરફ આશરે પંદર કોશ ઉપર આરાવલીનાં વાદળાં સુધી પહોંચેલા પહાડોની વચ્ચોવચ અંબા ભવાનીનું પ્રખ્યાત દેવાલય નજરે પડતું હતું. નીચે નજર કરતાં એક મોટો કરાડો દેખાતો હતો, પણ ત્યાંથી આંખ ઉંચી કરી જમણી તરફ અર્ધું ચક્કર ફેરવીએ, તો પરમાર રજપૂતોનો કિલ્લો દેખાતો હતો. તેથી વધારે જમણી તરફ દેવલવાડાનાં શિખરો દેખાતાં હતાં, તે ઉપર નાની નાની નદીઓ વહેતી હતી. દેખાવ કેવો જુદો જુદો ? આકાશ આસમાની, મેદાન રેતાળ, દહેરાં સ્ફાટિકનાં, ઝુંપડાં નીચાં, જંગલ મોટાં અને પહાડો ઉંચા નીચા હતાં.
મુનિ-શિખર ઉપરથી ઉતરીને અચળેશ્વરના અગ્નિકુંડ તથા દેવસ્થાન આગળ તેઓ ગયા. અગ્નિકુંડ આશરે ૪પ૦ ગજ લાંબો તથા ૧૨૦ ગજ પહોળેા હતો. તે એક પહાડમાંથી કોતરી કાઢેલો હતો, અને તેની બાજુએ મોટી મોટી ઇંટ ચણી લીધેલી હતી. કુંડની મધ્યે એક પથ્થરનો ટેકરે રહેવા દીધેલો હતો તે ઉપર માતાનું એક દહેરૂં હતું. કુંડના ઉત્તર તરફના મથાળા ઉપર પાંચ પાંડવનાં પાંચ દહેરાં હતાં, પશ્ચિમ બાજુએ આબુનો ઇષ્ટ દેવ જે અચળેશ્વર તેનું દહેરૂં હતું. આ દહેરૂં કાંઈ મોટું અથવા નકશીદાર ન હતું, પણ ઘણું સાદું હતું. તે એક મોટા ચોગાનની વચ્ચોવચ હતું, અને તેની આસપાસ કાળી સ્લેટના પથ્થરનાં બાંધેલાં નાનાં નાનાં દહેરાં હતાં અગ્નિકુંડની પૂર્વ બાજુએ પરમારના મૂળ પુરૂષનું દહેરૂં હતું, આદિપાળની મૂર્તિ તેમાં બેસાડેલી હતી, તે સફેદ આરસની હતી. તેની ઉંચાઈ આશરે અઢી ગજની હતી. ભેંસાસુર એટલે ભેંસના માથાવાળો રાક્ષસ રાત્રે આવીને અગ્નિકુંડનું પવિત્ર પાણી પી જતો હતો, તેને ન આવવા દેવાને પરમેશ્વરે પરમારને સરજાવ્યા. તે ભેંસાસુરને બાણવતી મારી નાંખતો હોય એવી રીતની તે આદિપાળની મૂર્તિ હતી. એ અગ્નિકુંડ જોયા પછી અચળગઢનો કિલ્લો જોવાને તેઓ ગયા. કેટલેક સુધી ઉંચે ચઢ્યા પછી હનુમાન ભાગળમાંથી નીચલા કિલ્લામાં પેંઠા. પછી બીજી ભાગળમાં થઈને અંદરના કિલ્લામાં ગયા તેમાં જોવા લાયક કાંઈ નહતું. કિલ્લામાં એક મોટું તળાવ હતું. તેનું નામ શ્રાવણ ભાદરવો હતું. અને એ ચોમાસાના બે માસનું તેને નામ આપ્યું હતું. તે તેને યોગ્ય જ હતું, કેમકે તે ભર ઉનાળામાં પણ પાણીથી ભરેલું રહેતું હતું.
હવે દેવલવાડા જોવાનું રહ્યું, અને ત્યાં જવા સારૂ તેઓ વશિષ્ઠ મુનિના આશ્રમ આગળ પાછા ગયા. ત્યાંથી તે દેવલવાડા સુધીના રસ્તામાં ખેતીવાડી સારી હતી; લોકોની વસ્તી પણ વધારે હતી; નદીઓ તથા ઝાડો પણ ઘણા જ હતાં; વખતે વખતે જમીન ઉપર લીલો ફરશ બીછાવ્યો હોય એવી લીલી હરિયાળી જેવી જગ્યા આવતી હતી. કમેરે પક્ષી જે બીજે સ્થળે ક્વચિત જ માલમ પડે છે તેનો ત્યાં મધુર સાદ સંભળાતો હતો; અને એક ઝાડીમાં નિર્મળ નદી વહેતી હતી તેમાંથી કોયલનો તીણો તથા સ્પષ્ટ શબ્દ આવતો હતો. સઘળાં ખેતરોમાં અનાજ વાવેલું હતું. અને ઘણા થોડા વખતમાં આબુનાં બાર ગામોમાંથી ચાર તેઓએ વટાવ્યાં. તે ગામોમાં ઘર સુઘડ તથા સુખદાયક અને ગોળાકાર હતાં; તેની ભીંત મટોડીની હતી પણ તે ગેરૂથી રંગેલી હતી; હરેક વહેતા નાળાને કાંઠે ખેતરમાં પાણી સીંચવાનું ચક્કર હતું; ખેતરોની વાડ થોરની હતી તે ઉપર ધોળાં ફુલ હતાં, અને માંહેમાંહે શિવને વહાલાં સેવતીનાં ફુલ હતાં. એક કાળા પથ્થરની ટેકરી ઉપર પુષ્કળ દાઢેમડી હતી. અંજીરીએાની પણ કાંઈ ખોટ નહોતી; દરાખના વેલા કોઇ કોઇ ઠેકાણે દેખાતા હતા; અને એક ઉંડી ખીણમાં મીઠાં લીંબુનાં ઝાડ ઉગેલાં હતાં. આંબાનાં તો વનેવન હતાં; તેનાં લટકતાં આસમાની તથા સફેદ ફુલ ઘણાં જ શોભાયમાન દીસતાં હતાં. આંબાને વિંટળાએલા વેલાને પહાડમાં વસનારા લોકો અંબાત્રી કહેતા, તે તેઓને ઘણા જ ગમતા હોય એમ લાગતું હતું, કેમકે જ્યાં જ્યાં તેઓ પહોંચાય એટલા ઉંચા તે ઉગતા હતા ત્યાં ત્યાંથી તેઓને તોડી લઈ તેઓ ચોટલામાં ગુંથતા અથવા પાઘડીમાં ખોસતા હતા. ઝાડોમાં ઘણી ભીનાશ હતી તેથી તેઓ સેવાળ તથા વેલાથી તમામ ઢકાઈ ગયલાં હતાં. અને અચળગઢ આગળ ખજુરીનાં ઉંચાં ઝાડ પણ મૂળથી તે ટોચ સુધી એ જ પ્રમાણે ઢંકાયલાં હતાં, ફુલોનાં ઝાડ તો ત્યાં પુષ્કળ ઉગેલાં હતાં, તેઓમાં ઘણાં તો ચંપેલી તથા તેના જેવાં બીજા ફુલોનાં હતાં. સોનેરી ચંપાનાં ઝાડ જે ફુલનાં સઘળાં ઝાડોમાં ઉંચામાં ઉંચાં ગણાય છે, જે મેદાન ઉપર ક્વચિત જ જોવામાં આવે છે, અને જેને અગરના ઝાડની પેઠે સો વર્ષમાં એક જ વાર ફુલ આવે છે એવું લોકો કહે છે, તે ઝાડ થોડે થોડે છેટે મોરોથી ભરેલાં ઉગેલાં હતાં, અને તેથી તમામ હવામાં ખુશબો પથરાઇ રહી હતી. નદીઓ અને પહાડો, મેવાનાં ઝાડો, ટેકરીઓ, ઝાડી, અનાજનાં ખેતર, દરાખના વેલા, અને પહાડી કિલ્લા, એવી રીતની બધી શોભા ત્યાં એકઠી થયલી હતી.
ત્યાં એક નખી તળાવ ઘણું જ રમણિક હતું. તેમાંના બેટો ઝાડોથી ભરપૂર હતા અને તેની આસપાસના ટેકરાઓ, તાડ, ખજુર વગેરે ઝાડોથી ઢંકાયલા હતા. તેનાં પાણી ઉપર ઘણા આનંદથી જળકુકડીઓ તરતી હતી. એ તળાવની પાસે દેવલવાડા એટલે દેવલોનું ઠેકાણું હતું. તેઓમાં મુખ્ય દહેરાં તેજપાળ તથા વિમળશાનાં બાંધેલાં હતાં. ઉપર લખ્યા પ્રમાણે વિમળશાનું દહેરૂં ઈ૦ સ૦ ૧૦૩૧માં બંધાયું. તે અગાઉ એ પવિત્ર ડુંગર ઉપર કોઈપણ જૈન લોકોનું દેવસ્થાન નહતું. એ દહેરાં કાંઈ મોટાં અથવા બહારથી ઘણાં શોભાયમાન ન હતાં, પણ અંદરથી તેઓમાં નકશીનું કામ એટલું બધું હતું કે તેઓનું યથાસ્થિત વર્ણન આ ઠેકાણે કરી શકાતું નથી. આગલો ઘુમટ અષ્ટખુણ હતો, અને પાછળ અગણિત ઘુમટો હતા. સઘળાં દહેરા સફેદ સ્ફાટિકનાં હતાં અને તેના ઉપર જે નકશી હતી તે એવી તો બારીક કોતરેલી હતી કે એવી બારીકી મીણ સિવાય બીજી કોઈ પણ વસ્તુમાં થઈ શકે એમ વિચારમાં જ ઉતરી શકે નહી. તેમાં જે ચિત્ર કોતરેલાં હતાં તે નિર્જીવ વસ્તુઓનાં જ હતાં એમ નહી. સ્ત્રીપુરૂષ પોતપોતાનાં કામ કરતાં હોય તેનાં, વહાણનાં તથા વ્યાપારનો સંબંધ રાખતાં, અને રણસંગ્રામમાં યુદ્ધ થતું હોય તેનાં પણ ચિત્રો હતાં. હમણાં એ નકશીદાર દહેરાં જે જે અંગ્રેજ લોકો જોય છે તેઓ તેની ઘણી જ તારીફ કરે છે, અને આ દેશના લોકો ઈમારત બાંધવાના કામમાં તથા નકશી કોતરવામાં આવા પ્રવીણ હતા, એ વાતની તેઓની આ ઠેકાણેનાં દેવસ્થાને જોયાથી ખાતરી થઈ છે.
આવી આવી ઈશ્વરી તથા માણસની કળાથી ઉત્પન્ન થયલી શોભા જોવાથી, આવાં આવાં પવિત્ર સ્થળો તથા દેવભૂમિમાં પગ મુક્યાથી, આવી આવી ચમત્કારી વસ્તુઓ નજરે પડ્યાથી, આવા આવા મહિમાવાળા તથા જાગતાજોત કહેવાતા દેવો તથા દેવીઓનાં દર્શન કીધાથી, માધવનો જીવ એટલો તો પ્રસન્ન થઈ ગયો કે તેના અંતઃકરણમાં જે તોફાન થઈ રહ્યું હતું તે શાંત થયું; તેના હૈયામાં જે વેર દેવીએ વાસો કીધો હતો તે ત્યાંથી ઉઠી એક ખુણે દબાઈ બેઠી, અને તેના ઉપર પડેલું મહાભારત દુઃખ તે ઘણું ખરૂં તો ભુલી જ ગયો. જ્યાં ઈશ્વરે મોકળે હાથે સુખ પાથર્યું છે, જ્યાં ઈશ્વરની મોટાઈ અને શક્તિ પ્રકટ થઇ આવે છે, જ્યાં માણસની અશક્તિ તથા તુચ્છપણું જણાઈ આવે છે, જ્યાં ઈશ્વરનાં કામ કાળ પર્યંત ટકે છે, અને માણસનાં બનાવેલાં કામો થોડી મુદતમાં નાશ પામતાં માલમ પડે છે, જ્યાં પશુ, પક્ષી તથા બીજાં પ્રાણીઓની ઉપર પરમેશ્વરની અનંત દયા ડગલે ડગલે દીઠામાં આવે છે, ત્યાં માણસનું અંતઃકરણ નરમ તથા કોમળ થાય તેમાં શું આશ્ચર્ય ?
માધવના મનમાં જે દુષ્ટ તથા વિપરીત વિચારો ઉત્પન્ન થયલા હતા તે જો કે દબાઈ ગયા હતા, તો પણ તેઓનો સમળો નાશ થયો નહોતો, જ્યાં સુધી આવી રમણિક ભૂમિનો મહિમા રહ્યો ત્યાં સુધી તેનું મન શાંત રહ્યું, પણ જ્યારે તે મેવાડના મેદાન ઉપર નીકળ્યો, અને કાંઈ મનને વિચાર કરવાનું કામ મળે એવા દેખાવો તેના જોવામાં આવ્યા નહી, એટલે તે વિચારો પાછા તેના મનમાં પૂર જોસથી આવવા લાગ્યા. વળી હવે તેઓ બંને એકલા પડ્યા, અને એના એ વિષય ઉપર વાત કરવા લાગ્યા, તેથી દિલની આગ હોલાવવાને બદલે તે વધારે જુસ્સાથી બળવા લાગી; વાટ ઘણી લાંબી દીસવા લાગી, ખાવાપીવા કાંઈ ભાવે નહી, અને તેઓને જો કોઈ સંગાત મળ્યો નહોત, જો એ પ્રમાણે થવાથી તેઓનું મન બીજા વિષય ઉપર ગયું નહોત, તો માધવ રસ્તામાં માંદો પડત, અને તેનું ધારેલું કામ સિદ્ધ કીધા વિના તેનો આત્મા તેનો દેહ મુકીને ચાલ્યો જાત. પણ ગુજરાતના દુર્ભાગ્યને લીધે તથા મ્લેચ્છ લોકોનો દહાડો ચઢતો તેથી તેમ બન્યું નહીં.
તે વખતે ગુજરાતના કેટલાએક લોકો એકઠા મળીને ગોકુળ- મથુરાંજીની જાત્રાએ જતા હતા તેઓ તેમને મળ્યા. આવો સંગાત જોઈને માધવ તથા મોતીશા પણ તેઓમાં સામેલ થયા, અને તેઓ બદ્રીકેદારનાથજીની જાત્રા જાય છે એમ તેઓએ બીજા લોકને કહ્યું, સંઘના લોકો જુદી જુદી જ્ઞાતિના હતા, તેઓ બપોરે કોઈ ઝાડ નીચે જુદા જુદા ચુલા બનાવીને રસોઈ કરતા અને તડકાનો વખત ગાળીને પાછલા પહોરના અને થોડી રાત જાય ત્યાં સુધી ચાલતા. કેટલાએક ઘોડા ઉપર, અને કેટલાએક ગાડામાં બેસીને મુસાફરી કરતા. એ લોકોના સમાગમથી માધવ તથા તેના સોબતીને ઘણી ગમત થઈ, અને તેથી રસ્તો પણ ઘણો નીકળી ગયો, એ સંઘમાં એક વાણિયાની ન્યાતની ઘરડી ડોશી હતી તે એટલી તો વહેમી હતી, તથા તેની પાસે જે પુંજી હતી તે જાળવવાની તેને એટલી તો ફિકર હતી કે બીજા લોકો જાત્રાએ જાય છે તે વખતે પોતાની માલમતા પોતાના ગામમાં સગાને અથવા કોઈ બીજા વિશ્વાસુ માણસને સોંપી આવે છે તેમ તે ડોશીએ કીધું નહતું, આશરે સો મહોર જે તેણે દળી ખાંડીને તથા બીજાં વહીતરાં કરી મેળવી હતી તેનું એક પોટલું બાંધીને તે પોતાની પાસે જ રાખતી, અને રાતે ઉંઘતી વખતે તે પોટલું તેની બગલમાં ઘણા જોરથી દાબીને સુતી, તેની ઉંઘ એવી કુતરાના જેવી હતી કે તેને કોઈ જરા અડકે તે જાગી ઉઠી શેરબકોર કરી આખો સંઘ જગાડી દેતી, એ ડોશીની આવી રીતથી તેને સઘળા ચીઢવતા હતા. આખે રસ્તે મશ્કરી કરતા, અને રાત્રે ઘણી વાર તેને છેડીને વારે વારે તેને ભર ઉંઘમાંથી જગાડ્યાં કરતા હતા. તેને તે પૈસામાંથી એક પણ ખરચવો પડતો ત્યારે તેનો જીવ જ જવો બાકી રહેતો. જાત્રામાં ધર્મદાન થાય અને જે બાકી રહે તેમાંથી તેના મુઆ પછી ન્યાતમાં છૂટું ઘી પીરસાય એ તેની મોટામા મોટી ઉમેદ હતી. જીવતાં તો ન્યાતના તરફની આબરૂ મળી નહીં, ત્યારે મુઆ પછી ઉજવાવું અને ન્યાતના લોકો પાસે વાહવાહ કહેવડાવવી, એ તેને સ્વર્ગ જવા બરોબર ખુશી ઉપજાવનાર હતું; બલકે તેમ કીધાથી વૈકુંઠ જવાશે એમ તેને પક્કી ખાતરી હતી કેમકે તેનો એવો અભિપ્રાય હતો કે જેની મુઆ પાછળ વાહવા થઈ તે પરમેશ્વરને ત્યાં પણ સારી જ ગતિ પામે. તેનો એક ભત્રિજો તેની સાથે આવેલો હતો તે ઘણી ગરીબ હાલતમાં હતો, અને અગર જો તે ડોશીને કાંઈ છોકરાં નહતાં, અને પૈસા ખાનાર એ ભત્રિજા શિવાય બીજું કોઈ નહતું તો પણ જ્યાંસુધી તે જીવતી રહે ત્યાં સુધી તે ભત્રિજો ભુખે મરી જાય તો પણ તેને એક પૈસો પણ આપતી નહી. ડોસીનો વિચાર એવો હતો કે મરતી વખતે તે પુંજી ન્યાતના પટેલને સોંપવી, અને તેમાંથી તેના કહ્યા પ્રમાણે તેની મૈયતનો ખરચ થયા પછી જે બાકી રહે તે તેના ભત્રિજાને સોંપાવવું, એટલું છતાં પણ તે ડોશીનું તેના ભત્રિજા ઉપર ઘણું જ હેત હતું. અને તે જ્યારે માંદો પડતો ત્યારે તે મરશે તો પાછળ કોઈ પોતાને આગ મુકનાર રહેશે નહી એ ફિકરથી તે તેની પોતાના છોકરાના જેટલી બરદાસ્ત કરતી હતી તો પણ જ્યારે તે પૈસાના દુ:ખની વાત તેની આગળ કરતો ત્યારે તે વાત બદલી નાંખતી, અથવા મારી પાસે કાંઈ જ નથી એમ કહેતી. હવે ભત્રિજાને એવી ડોશી ઉપર હેત તો કયાંથી જ હોય ? ચાર દહાડા લાંઘણ કીધી હોય તો પણ ડોશી સુકો રોટલો પણ તેને ખવડાવે નહી તો એક પૈસો તો કયાંથી જ આપે ? માટે તે ડોશીની મરવાની ઘણી આતુરતાથી રાહ જોતો હતો, પણ જેમ તેની તેને મરવાની ઉતાવળ તેમ ડોશીનું આવરદા લાંબું થતું, અને તેને ઘણા ઘણા રોગ થઈ ગયા તો પણ રીઢા વાસણની પેઠે તેના શરીરને જરા પણ નુકસાન લાગ્યું નહતું, ભત્રિજાની પૈસા તરફની અવસ્થા વધારે વધારે ખરાબ થતી ગઈ. અને ડોશીનો લોભ દહાડે દહાડે વધતો ગયો, જ્યારે ડોશી જાત્રાએ જવા નીકળી, ત્યારે તેને તે પૈસા સોંપશે એવી તેણે આશા રાખી તે પણ ભંગ થઈ, ત્યારે પોતાની પાસે જે કાંઈ સામાન હતો તે વેચીને તેના થોડાએક પૈસા ઉપજાવ્યા અને તે લઈ તે પણ ડોશીની સાથે જવા નીકળ્યો. ડોશીને તે જરા પણ પરવડયું નહીં, પણ શું કરે? લાચાર. ભત્રિજાએ જતી વખતે જ નિશ્ચય કીધો કે હવે વધારે વા૨ સબુરી ન રાખતાં રસ્તામાં જ તેને ઠાર કરવી અને તેના પૈસા લઈ લેવા, પણ તે એટલી તો જાગૃત રહેતી તથા ત્યાં લોકોની આખી રાત એટલી તો વસ્તી હતી કે તેના દુષ્ટ વિચાર તેનાથી હજુ સુધી અમલમાં મુકાયા ન હતા. તેને લાગે મળતો નહતો તેથી તે ઘણો હીજરાયા કરતો હતો, અને જેમ જેમ દહાડા જતા ગયા, તેમ તેમ તેના ખુની વિચાર વધારે દૃઢ થતા ગયા.
એક વખત મધ્યરાત્રે સઘળાં ભર ઉઘમાં પડેલાં હતાં તે વખતે પેલો ભત્રિજો ઉઠ્યો, અને તે ડોશી પાસે જઈ એકદમ તેણે તેની ગળચી પકડી, અને તે બુમ પાડવાને મ્હોં ઉઘાડે છે એટલામાં એક ચીથરાનો ડુચો તેમાં ઘાલી દીધો. પછી ડોશીની ગળચી એવા તેા જોરથી દાબી કે તે ગુંગળાઈને તુરત મરણ પામી. ત્યાર પછી તેની બગલમાંથી પોટલું કાઢી પાસેના ઝાડ નીચે એક ખાડો ખોદીને દાટયું. અને ત્યાં સારી પેઠે નિશાની રાખી પાછો સુઈ ગયો. બીજે દહાડે સવારે લોકો જ્યારે વહેલાં ઉઠ્યાં ત્યારે તેઓએ ડોશીને જગાડવા માંડી, પણ ડોશીમા તો સ્વધામ પધારેલાં, તેથી કાંઈ જવાબ દીધો નહી; ત્યારે તેને જગાડવા સારૂ તેની બગલમાં હાથ ઘાલ્યો, પણ પોટલું કાંઈ માલમ પડયું નહીં. તે ઉપરથી સઘળાઓને વહેમ પડ્યો ને દીવો મંગાવીને જોયું તો ડોશીને મુએલી જોઈ, પણ તેનું મોત શી રીતે થયું તે કોઈથી નક્કી થઈ શકે નહીં. એવી ગડબડ થતાં જ તેને ભત્રિજો ત્યાં દોડતો આવ્યો, અને એકદમ મોટે ઘાંટો કાઢી છાતી કુટી રડવા મંડ્યો. ડોશીને કોઈએ મારી નાંખી, અને તેના પૈસા કોઈ લઈ ગયું એવી વાત થવા માંડી, એટલામાં ભત્રિજાએ આંખ લુંછી સાવધ થઈને આસપાસ જોયું અને કહ્યું કે આ નવા જાત્રાળુ આવેલા છે તેમાં એક તો શ્રાવક છે તેથી તે તો એવી હત્યા કરે નહી, પણ બીજો બ્રાહ્મણ છે તેના ઉપર મને ઘણો શક જાય છે, તેણે જ ખુન કીધું હશે, માટે તેને ઝાડો જોવો. એટલું સાંભળતાં જ તેણે તથા બીજા લોકોએ માધવને પકડ્યો, અને તેને સઘળો સામાન જોયો, તેમાં કેટલા એક પૈસા નીકળ્યા તે ડોશીના છે એમ તેનો ભત્રિજો કહેવા લાગ્યો, અને માધવને ઘણુંએ સમજાવ્યો તો પણ તેણે એવું કહ્યાં જ કીધું કે એ તો મારા છે, માધવના કહેવાથી તે ભત્રિજાને પતીજ થઈ નહીં તેથી પાસેના ગામના રાજા આગળ ફરિયાદ કરવી, અને ખરે ખુની માધવ છે કે નહી તેની તજવીજ કરાવવી એમ ઠર્યું.
બીજે દહાડે તેઓ એક મોટા ગામમાં જઈ પહોંચ્યા, ત્યાં ધર્મશાળામાં સઘળા સંઘે ઉતારો કીધો. જ્યારે સઘળા રસોઈ કરવામાં પડ્યા હતા તે વખતે તે ભત્રિજે તે ગામના રાજાના કારભારી આગળ જઈ સઘળી હકીકત કહી. કારભારીને પાનસોપારી પણ મળ્યાં, તેથી તેણે ઠરાવ કીધો કે તપાસ ચાલે તેમાં ભત્રિજાને બચાવી લેવો, પાછલે પહોરે જ્યારે દરબાર ભરાયો ત્યારે ભત્રિજો ત્યાં ગયો અને “ફરિયાદ” “ ફરિયાદ” બુમ પાડી, તે સાંભળી તેને રાજાએ પાસે બોલાવી તેની સઘળી વાત પૂછી લીધી, તેમાં કારભારીએ મરીમસાલો ભભરાવી આપ્યો, તે ઉપરથી રાજાએ હુકમ કીધો કે આવતી કાલે સવારે અગ્નિદિવ્ય કરવું, અને તે બ્રાહ્મણ ગુન્હેગાર છે કે નહી એ વાત નક્કી કરવી. તે વખતે ત્યાં જવાને રાજાએ કારભારીને હુકમ કીધો. બીજે દહાડે સવારે સૂર્યોદયની વખતે ગામના પાદર ઉપર એક લીમડાના ઝાડ આગળ હજારો માણસ જોવા મળ્યાં હતાં, ભત્રિજો આગળથી આવી ઉભો હતો. સંઘના લોકો માધવને લઈને આવ્યા, કારભારી ઝાડ નીચે એક શેતરંજી પથરાવી બેઠો અને થોડેક દૂર દેવતા સળગાવી તેમાં પૈડાંની લોઢાની વાટ એક લુહારે તપાવી લાલચોળ કીધી, તે વાટને કારભારી આગળ મુકી, ત્યારે પહેલાં તો ભત્રિજાને તે વાટ ભોંય ઉપરથી ઉંચકવાનો હુકમ થયો, ભત્રિજો આગળ આવી ઉભો રહ્યો, અને સૂર્ય તરફ મ્હોં ફેરવીને બોલ્યો, “સૂરજ બાપજી ! જો મારામાં સત હોય તો મારા હાથ દાઝવા દેતે માં” એમ કહી વાટને એક આંગળી અડકાડી, એટલે કારભારી બોલી ઉઠ્યો: “ બસ, હવે થયું, એ તે પાર પડ્યો, હવે એ બ્રાહ્મણે વાટ ઉંચકવી જોઈએ.” માધવ વાટને જોઈને થરથર ધ્રુજવા લાગ્યો, અને તેના શરીરમાં તમામ લોહી ઉડી ગયું, તે જોઈને લોકો માંહેમાંહે વાત કરવા લાગ્યા કે આ ચંડાળ બ્રાહ્મણે ખુન કીધું છે. માધવના મનમાં એ સાંભળી ઘણું કષ્ટ થયું, તેથી કોઈ વખત મળે તો ધીરજ આવે એ મતલબથી તેણે એક પાસેના કુવામાં નહાવા જવાની રજા માગી, રજા મળ્યા પછી પોતાનાં લુગડાં ઉતારીને કુવા પાસે ગયો, ત્યાં ઉભો રહી વિચાર કરવા લાગ્યો કે હવે શું કરવું? ‘સાચાનો હાથ ન બળે અને જુઠાનો બળે એ તો લોકોને વહેમ છે, એ હું સારી પઠે જાણું છું, સત્યયુગ અને બીજા પાછલા યુગમાં એમ થતું હશે; પણ આ કળિયુગમાં તો એવો પ્રત્યક્ષ ચમત્કાર બનતો નથી. શાસ્ત્રમાં કોઈવાર એમ કહે છે કે કળિયુગમાં ઈશ્વરના ચમત્કાર વધારે જોવામાં આવે છે, અને કોઈવાર કહે છે કે આ યુગમાં સઘળા દેવતાઓ ઉંઘે છે, ત્યારે શું માનવું? જગતમાં ઘણા સત્યવાદી લોકો ભુખે મરે છે, અને જુઠા લોકો પ્રપંચ કરી ગાડીઘોડે બેસીને ફરે છે, ત્યારે પરમેશ્વરની સહાયતા કયાં ગઈ? અગ્નિનો સ્વભાવ જ છે કે જે તેને અડકે તેને તે બાળે. ત્યારે સાચા જુઠાનો મેળ કયાં રહ્યો, માટે જો સાચવટ ઉપર ભરોસો રાખી વાટ હાથે ઉઠાવવા જઈશ તો હાથ બળશે જ, એટલે રાજા તથા લોક મને ખુની ઠરાવશે અને ચંડાળને હાથે મારૂં મોત આવશે. તે કરતાં આ કુવામાં ભુસકો મારી મરવું ઘણું સારું એવું વિચારીને તે કુવામાં પડવા જાય છે, એટલે નીચેથી એક ગેબી શબ્દ સંભળાયો, “सत्यमेव जयते” એ શબ્દ સાંભળીને તે ઘણું આશ્ચર્ય પામ્યો, અને આસપાસ કોઈ માણસ ન હતું તેથી તેની ખાતરી થઈ કે ઈશ્વરે કૃપા કરી મને ધીરજ આપી, પછી તુરતજ પાણી કાઢી સ્નાન કીધું, અને ભીને શરીરે ઉની વાટ આગળ ગયો. ત્યાં જઈને તેણે ઘણીએક વાર સુધી મહાદેવ તથા માતાજીની સ્તુતિ કીધી. પછી સૂર્ય તરફ ફરીને હાથ જોડીને બેલ્યો:– “રે સૂર્યદેવતા, તું પ્રત્યક્ષ દેવ છે, તારાથી છાનું કાંઈ કામ થઈ શકતું નથી, તું સઘળા માણસના મનના વિચાર જાણે છે, માટે જો મેં ડોશીનું ખુન કીધું હોય તો આ વાટ પકડતાં જ મારા હાથ બળી જજો, અને મારા ઉપર જુઠો આરોપ આવ્યો હોય તો જેમ એક ફુલ ઉંચકું તેમ એ વાટ મારાથી ઉંચકાજો.” એટલું કહી વાટ ઉંચકવાની તૈયારી કીધી, પણ જ્યારે તે વાટને ધગધગતી જોઈ અને તેની નીચેની ધૂળ પણ તાપથી તપી ગયેલી લાગી, ત્યારે ફરી તેની હિંમત છુટી ગઈ, અને તે ત્યાંથી પાછો હઠતો હતો એટલામાં તે વાટ ઉપર એક કીડીની હાર ચાલતી હોય એમ તેને ભ્રાંતિ થઈ એ કીડીને ચાલતાં જોઈને તેને ફરીથી ધીરજ આવી અને તેણે તુરત વાટ ઉચકી પોતાની ડોકમાં ભેરવી દીધી. સઘળા લોકો એ તમાશો જોઈ વિસ્મિત થયા, અને માંહેમાંહે કહેવા લાગ્યા કે, આ દુષ્ટ કળિયુગમાં પણ પરમેશ્વર ઉંઘતા નથી, પણ તે સાચાને મદદ કરવાને હજી પ્રવૃત્ત રહે છે. કારભારીએ તે વાટ માધવની ડોકમાંથી કઢાવી નંખાવી અને તેને ઘણું માન આપી રાજાની પાસે લઈ ગયો તેણે તેને બ્રાહ્મણ જાણી તેનું પૂજન કરી કેટલીએક સોનાની મહોર બક્ષિસ કીધી. માધવે કોઈ વખત આગળ દક્ષિણા લીધી નહતી, તો પણ તે વખતે તેની પાસે ઘણા પૈસા નહતા, અને દિલ્હીમાં તેને પોતાનું ધારેલું કામ પાર પાડવામાં પૈસાની કેટલી બધી જરૂર પડશે તે વાત સારી પેઠે તે જાણતો હતો, તેથી ઘણું નાખુશીની સાથે તેણે તે વખતે મહોરો લીધી, અને મોતીશાને બોલાવી સંઘમાંથી જુદા પડી એકલાં મુસાફરી કરવાનો ઠરાવ કીધો.
પહેલે જ દહાડે તેઓ એકલા અને વાટ દેખાડનાર કોઈ ભોમીયો નહી તેથી ભુલા પડ્યા, અને ધોરી રસ્તો છોડીને એક જંગલમાં પેંઠા, જેમ જેમ તેઓ આગળ ચાલતા ગયા તેમ તેમ જંગલ વધારે ગાઢું થતું ગયું, અને જ્યારે સાંજ પડી ત્યારે ત્યાં એટલું તો અંધારૂં થઈ ગયું કે એક ડગલું પણ તેઓનાથી આગળ જવાયું નહી. નિરાશ થઈને તેએાએ ઘોડાઓ ઉપરથી ઉતરીને ઘેાડા ઝાડ સાથે બાંધ્યા જંગલી જનાવરની દહેશતને લીધે તેઓ ઝાડ ઉપર ચઢી ત્યાં આખી રાત સુઈ રહેવાનો મનસુબો કરતા હતા, એટલામાં પાસેના ઝાડમાંથી બે બ્રાહ્મણો હાથમાં નાગી તલવાર લઈને તેઓની સામા ઉભા રહ્યા. જ્યારે તે ચારે જણની આંખ મળી ત્યારે બ્રાહ્મણો બોલ્યાઃ “યજમાન રાજા, કલ્યાણમસ્તુ, અમે દક્ષિણા લેવા આવ્યા છીએ.” માધવે આશ્ચર્ય પામીને તેઓની સામું જોઈને પૂછ્યું “ ગોરમહારાજ ! તલવાર ઉઘાડી રાખી દક્ષિણા માગતાં બ્રાહ્મણોને મેં મારી જીન્દગીમાં આજે જ જોયા. તમારી હકીકત કોઈ વિચક્ષણ હશે, માટે કૃપા કરી તમે કોણ છો, તથા તમારો ધંધો શો છે તે કહો.” બ્રાહ્મણ બોલ્યાઃ “યજમાન રાજા, અમે બે ભાઈઓ છીએ, અને અમે વેદાંતી ધર્મ પાળીએ છીએ. થોડાં વર્ષ ઉપર કાંઈ ધંધો ન મળવાથી અમે એવા તો દરિદ્રી થઈ ગયા, અને તેથી અમારી બાયડીઓ અમને એટલા તો રોજ ઠોક પાડવા લાગી કે કાંઈ પણ ધંધો કરવાનો અમે નિશ્ચય કીધો. એવામાં એક દહાડો એક વ્યાસજી વેદાંત ઉપર કથા કરતા હતા તે સાંભળવાને અમે બેઠા. કથામાં વ્યાસજી બેલ્યા: “આ જગત માયારૂપી છે ભાઈઓ, એક બાજીગરનો ખેલ છે, જેમ જાદુગર લોકો નજરબંધી કરી ધૂળ હોય ત્યાં પાણી દેખાડે છે તેમ માણસ સઘળું ખોટું દેખે છે, જગતમાં આત્મા અને પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી, જે જે પ્રાકૃતિક પદાર્થ આપણી ઈંદ્રિયોવડે માલમ પડે છે તેઓ ખરેખર જગતમાં છે જ નહી એ તો માત્ર આભાસ છે, જેમ સ્વપ્નમાં આપણને હજારો વસ્તુ દેખાય છે, અનેક શબ્દ સંભળાય છે, અને સઘળાં ઈંદ્રિયસુખ મળે છે, પણ જાગ્યા એટલે તેમાંનું કાંઈ ત્યાં હોતું નથી, તેમ આ જગતમાં આપણી અવસ્થા સ્વપ્નવત્ છે, પદાર્થ કાંઈ છે જ નહી. માટે રે ભાઈઓ, જગતમાં લોકો પૈસા મેળવવાને જે શ્રમ કરે છે તે સઘળો મિથ્યા છે. જેટલું લોકો મારુંતારું કરે છે, તે ફોકટ છે. અલ્યા મારું કાંઈ નથી અને તારું પણ કાંઈ નથી” એ કથા સાંભળીને અમારા મન ઉપર એટલી તો અસર થઈ કે અમે વેદાંતી થઈ ગયા, અને મારા અને તારામાં કાંઈ અંતર ગણવો નહી એવો નિશ્ચય કીધો. પછી એક વાર અમે અમારા યજમાનને ઘેર કાંઈ કામસર ગયા, ત્યાં એક પૈસાની થેલી પડી હતી તે જોઈને અમે વિચાર કરવા લાગ્યા કે આને માનવી પૈસો કહે છે, પણ ખરેખરે તો તે છે જ નહી, એ તો માત્ર આભાસ છે વળી જગત કારમું છે, તથા આવરદા ક્ષણભંગુર છે, તેથી એ પૈસા મુકીને યજમાનને કોઈ દહાડે જવું પડશે, અથવા એ પૈસા યજમાનને મુકીને જતા રહેશે, એ બેમાંથી એક વાત તો નિશ્ચય બનવાની જ, હવે યજમાન પૈસાને મુકીને હમણાં જાય એવો સંભવ નથી, અને જાય તો પણ તેથી અમને કાંઈ લાભ થાય નહી. ત્યારે પૈસાએ આજે યજમાનને મુકીને જવું જોઈએ. વળી મારુંતારું એ સઘળું મિથ્યા છે, માટે યજમાનના પૈસા અને અમારા પૈસા એમાં ભેદ શો ? એમ વિચારીને તે થેલી ઉંચકી લીધી, અને તે લઈને જતા હતા એટલામાં યજમાનના દુષ્ટ ચાકરોએ અમને પકડ્યા, અને યજમાનના કહેવાથી અમને રાજા આગળ લઈ ગયા. રાજાની આંખ ઉપર પણ માયાની અંધારી બાંધેલી તેથી તેણે મારાતારામાં ભેદ કહ્યો, અને વેદવ્યાસજીના વેદાંતમતથી વિરૂદ્ધ ચાલીને અમને પાંચ વર્ષ બંધીખાનામાં નાંખ્યા, કારાગૃહમાં એટલાં વર્ષ મફતનું, વગર મહેનતે ખાધા પીધા પછી અમને છોડી મુક્યા. હવે શું કરવું ? જગત તો દુષ્ટ માયામાં વિંટાયલું, અને પરમાત્મામાં લય પામવાનાં સાધન શોધવાને બદલે મારાતારામાં લડીમરી ઘાંચીના બળદની પેઠે ચોરાશીલાખના ફેરા ફર્યા કરે છે. એવા લોકોમાં સર્વોત્કૃષ્ટ વેદાંત મત ચલાવવા જઈએ તો સંકટમાં આવી પડીએ, તેથી ઋષિઓની પેઠે વનવાસ કરવો એવો નિશ્ચય કીધો; અને આ જંગલમાં ત્રણ મહીના થયાં આવ્યા છીએ, પણ લાડુ ને ઘી ખાધેલા તે હવે કંદ, મૂળ, ફળાદિનો આહાર શી રીતે થાય ? તેથી કોઈ યજમાન શોધવાને રાતની વખતે નીકળીએ છીએ. તમે પહેલા જ મળ્યા છો, માટે જો તમે વેદવ્યાસજીને માનતા હો તો લુગડાં પાઘડી આદિ જેને તમે તમારું કહો છો તે અમારૂં કરો, નહીં તે આ તલવારવડે તમને પરમાત્માનો મેળાપ કરાવી આપીશું.” માધવને એ બે વેદાંતી બ્રાહ્મણોની વાત સાંભળી ઘણું હસવું આવ્યું, અને પેટના દુ:ખથી તેઓના મગજ ઉપર અસર થઈ છે એમ સમજીને તેઓને એક સોનાની મહોર આપી, તે લઈને આ બંને ઘણા પ્રસન્ન થયા, વિદાય કરતી વખતે માધવે તેઓને બોધ કીધો કે હજી વેદવ્યાસજીનો મત દુનિયામાં ચાલ્યો નથી, માટે હવે પછી જો તમે મારુંતારું સમાન ગણવા જશો, તો આ તમારી જ તલવારથી તમને જ પરમાત્મા સાથે એાળખાણ કરવું પડશે. વેદાંતીભાઈ તેઓને આશીર્વાદ દઈ ચાલતા થયા.
મેહદી હસન સાહેબનો પરિવાર રાજસ્થાની પરંપરાનો. તેમનો પરિવાર મૂળ રાજસ્થાનના લૂણા ગામનો રહેવાસી હતો અને ઘણી પેઢીઓથી તેમને રાજ્યાશ્રય મળ્યો હતો. ભારતીય શાસ્ત્રીય સંગીતના સાધક એવા આ પરિવારે ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. દેશના ભાગલા થયા અને કઇ આશા આકાંક્ષા સાથે મેહદી હસનના વાલિદસાહેબ તથા તેમના અન્ય બુઝુર્ગોએ પાકિસ્તાન જવાનો નિર્ણય કર્યો, એ તો તેમને જ ખબર. પણ આ નિર્ણયને કારણે તેમને તથા તેમના પરિવારને શરૂઆતમાં ઘણી મુસીબતો ઉઠાવવી પડી. ખુદ મેહદી હસનને દહાડીયા તરીકે મજુરીથી માંડી સાઇકલ રિપૅરીંગનું કામ કરવા જેવી મહેનત કરવી પડી. રોજ વાલીદ સાહેબ પાસે રિયાઝ અને બાકીનો સમય પરિવાર માટે આજીવિકા કમાવવા બહાર જવું. આ મહેનતે તેમના સ્વભાવમાં કડવાશને બદલે નમ્રતા તથા લોકોની મુસીબત સમજવાની શક્તિ આવી. નિરાભિમાન તેમના ચારિત્ર્યનું અંગ બની ગયું. જિપ્સીનું માનવું છે કે આ કારણે તેઓ અમીરથી વધુ અમીર અને ગરીબથી ગરીબ ચાહક પ્રત્યે સમાનત્વ બક્ષતા રહ્યા. આનું ઉદાહરણ અહીં જોઇએ.
ભારતીય સિને જગતના બીજી કક્ષાના એક પ્લેબૅક ગાયિકાએ કોણ જાણે કેવી રીતે મેહદી હસન સાહેબને કરારબદ્ધ કરી ભારત બોલાવ્યા અને મોટા શહેરોમાં કાર્યક્રમો યોજયા. ટિકીટના દર એવા રાખ્યા, જે સામાન્ય રસિકને ન પોષાય. અમદાવાદમાં તેમનો કાર્યક્રમ શાહીબાગના પોલિસ સ્ટેડીયમમાં રખાયો હતો. મેહદી હસન સાહેબની નજીક, તેમની સમક્ષ બેસી આનંદ માણનારા શ્રોતાઓ માટે તે સમયની માતબર ગણાતી રકમ ૧૦૦૦ રૂપિયાની ટિકીટ રાખી. તે વખતે સરકારી ક્લાર્કનો પગાર કેવળ ૧૦૦ રુપિયાનો હતો! નિમ્ન કક્ષાની, પોડીયમથી બસો ગજ દૂર સ્ટેડીયમના પગથિયા પર બેસી સાંભળનારાઓ માટે ટિકીટનો દર ૧૦૦ રૂપિયા – આમ આદમીની એક મહિનાની કમાઇ જેટલો રાખ્યો. તેમ છતાં ત્રણસો-એક ચાહકો ‘પગથિયાં’ની ટિકીટ લઇ કાર્યકમ સાંભળવા ગયા. હજાર રુપિયાની ટિકીટ વાળા કેવળ ૨૫-૩૦ લોકો હતા. કાર્યક્રમ શરૂ થયો. મેહદી હસન સાહેબે જોયું કે મોટા ભાગના શ્રોતાઓ દૂર હતા, તેમણે બધા ‘પ્રોટોકોલ’ છોડી જાહેર કર્યું, “દૂર બેસેલા મારા અઝીઝ હાઝરીન, આપ મારી નજીક આવીને બેસો. સંગીતના દરબારમાં કોઇ મોટું નથી, નાનું નથી.” અને બધા શ્રોતાઓને તેમના સાન્નિધ્યમાં બેસી તેમનું સંગીત માણવાનો મોકો મળ્યો. આવા હતા મેહદી હસન સાહેબ. જિપ્સી આ વાતનો સાક્ષી છે.
મેહદી હસન જ્યારે મિકેનીકનું કામ કરતા હતા, ત્યારે તેમના કાકા કરાંચી છોડી લાહોરના ગયા અને સંગીત નિર્દેશક તરીકે નામ કમાવ્યું. તેમણે મેહદી હસનને ફિલ્મોમાં ગાવાનો મોકો આપ્યો. શરૂઆતની અસફળતા બાદ ‘ગુલોમેં રંગ ભરે’એ તેમને એકાએક મોટા ફલક પર લાવ્યા. બસ, ત્યાર પછી તેમણે પાછા વળીને જોયું નહિ. એક પછી એક ગઝલ, નઝમ, ગીત, લોક ગીત લોકોનાં હૃદયમાં વસી ગયા.
તેમણે ગાયેલી ગઝલોની શી વાત કરીએ! તેમણે ‘રંજીશ હી સહી’ ગાઇને ફરી એક વાર ઝંઝાવાત ઉભો કર્યો. તેની મિઠાશ, પ્રિયતમાને ફરી એક વાર પાછા આવવા માટે વિવિધ પ્રકારે કરેલી ઇલ્તજા ખરેખર માણવા જેવી છે. લગ્નોમાં, જન્મોત્સવમાં કે પછી કોઇ પણ પારિવારીક કે સાર્વજનીક કાર્યક્રમમાં જતા ગાયકોને લોકો આ ગઝલની ફરમાયેશ અને વારંવાર ઇર્શાદ આપવા લાગ્યા. એટલી હદ સુધી કે રૂણા લૈલા, અનુરાધા પૌડવાલ અને તલત અઝીઝ જેવા ગાયકો પોતાના કાર્યક્રમમાં ‘સ્ટાર આઇટમ’ તરીકે આ ગઝલ પેશ કરવા લાગ્યા!
આપે તેમની ‘રંજીશ હી સહી’ સાંભળી જ હશે. લંડનમાં થયેલ એક કાર્યક્રમમાં તેમણે આ ગઝલની નજાકત સમજાવીને ગઝલ પેશ કરી હતી તે ખરેખર આશ્ચર્યકારક હતી. અહીં આ ગઝલના શબ્દો, તેનો અર્થ અને ગઝલ રજુ કરીએ છીએ. અલબત્, આજે પણ આ કામમાં અસગરભાઇનો ફાળો જરૂર જોવા મળશે.
“રંજીશ હી સહી, દિલ કો દુખાને કે લિયે આ!
આ ફ઼િર સે મુઝે છોડ કે જાને કે લિયે આ!”
મારા પ્રત્યે તમને રંજ છે તેથી તમે મને છોડીને ચાલ્યા ગયા છો તે હું જાણું છું. તમારી રંજીશને હું તમારી ઇનાયત સમજીને તમને બોલાવું છું. જેથી તમે ફરી એક વાર છોડી જવા માટે મારી પાસે આવો!
પહેલે-સે મરાસીમ ના સહી ફિરભી કભી તો
રસ્મ-ઓ-રહે દુનિયા હિ નિભાને કે લિયે આ!
મરાસીમ એટલે સંબંધ. પહેલે-સે એટલે પહેલાં જેવા. આપણી વચ્ચે પહેલાં જેવા (પ્રેમાળ) સંબંધ ભલે ન હોય, પણ દુનિયાને તો આપણાં જુના સંબંધ યાદ છે. દુનિયાની રસમ એવી છે કે મિત્રો ફરી મળે. આ રસમ નિભાવવા માટે તો આવ!
કિસ કિસ કો બતાયેંગે જુદાઇકા સબબ હમ?
તુ મુઝ સે ખ઼ફા હૈ તો ઝમાને કે લિયે આ!
આ ઉપરના શે’રને સહેજ જુદી રીતે, પણ સહેજ સરળ ઉર્દુમાં પેશ કર્યો છે.
કુછ તો મેરી પિંદારે મોહબ્બત કા ભરમ રખ
તુ ભી તો કભી મુઝ કો મનાને લે લિયે આ!
પિંદાર એટલે માન/ ઇજ્જત. મતલબ છે, મારો તમારા પ્રત્યેનો પ્રણય ઉત્કટ છે એવો મને ભલે ભ્રમ હોય, તેમ છતાં મારા પ્રેમની કદર કરવા માટે તો તમે આવો!
એક ઉમ્ર સે હું લઝ્ઝત-એ-ગિર્યા સે ભી મેહરૂમ
અય રાહતે જાં, મુઝ કો રુલાને કે લિયે આ!
જીંદગીભર તમારી ઝંખના કરવા છતાં હું તમારા સંગની ખુશીથી હું વંચિત રહ્યો છું. હું જાણું છું કે તમે મારા પર ખુશ નથી, પણ મારા જીવને રાહત આપનાર આપના સંગનો લાભ આપીને જતા રહો તો મને રડવું તો જરૂર આવશે. આ રૂદન મને માન્ય છે તેથી મને ફરી રડાવવા માટે કેમ ન હોય, પણ આવશો જરૂર.
હજી સુધી તો મારૂં હૃદય તમારી વ્યર્થ આશા રાખીને દુ:ખીત રહ્યું છે
પણ મારી આશાના દિપકની જ્યોતને બુઝાવવા માટે તો આવો!)
હવે ‘રંજીશ હી સહી’ મેહદી હસન સાહેબના સ્વરમાં સાંભળીએ:
મેહદી હસન સાહેબનું કલેવર ભલે પાકિસ્તાનમાં હોય, પણ તેમની રૂહ રાજસ્થાની હતી. કોઇ પણ કાર્યક્રમ પહેલાં પરિચયમાં તેઓ હંમેશા તેમના પરિવારના રાજસ્થાનમાંના સાડાત્રણસો વર્ષનો ઇતિહાસ જરૂર કહેતા. દેશના ભાગલા બાદ તેઓ મરૂભૂમિથી દૂર રહ્યા, પણ ‘કેસરીયા બાલમા, પધારો મ્હારે દેશ’ તો તેમના હૃદયની સિતારમાં હંમેશા બજતો રહ્યો. અને તેમણે ‘કેસરીયા’ ગાયો સુદ્ધાં. સાંભળો તેમનો અણીશુદ્ધ રાજસ્થાની માંડ!
શરૂઆતમાં પોતાની આવડત, પ્રતિભાની ઝલકથી લોકોમાં આશા જન્માવતા કલાકારો પૈસાની આંધળી દોટમાં તેમની પ્રતિભાને geniusમાં પરિવર્તીત નથી થવા દેતા. આનું કારણ હોય છે તેઓ અંગ્રેજીમાં કહેવાય છે તે પ્રમાણે તેઓ ‘Playing for the Gallery’ કરવા લાગે છે. આ જુનો શબ્દપ્રયોગ છે. જુના જમાનામાં “pit class’ના લોકો – જેમને કલાની જરા જેટલી પરખ ન હોય પણ તેમને titillate કરે તેવા ગીતો ગાઇ, તેમને ખુશ કરી ગૅલેરીમાંથી નાણાંનો વરસાદ થવા માટે ગાવા પાછળ આખી જીંદગી ગાળી પ્રતિભાનું બલિદાન આપતા હોય છે. આવા લોકો ઘોડદોડના મેદાનમાં કદી અવ્વલ સ્થાન ન પામનારા ‘Also ran‘ અશ્વની જેમ રહીને ભુલાઇ જાય છે. Playing for the Gallery કરનારા ગાયકોના અનેક ઉદાહરણ જોવા મળશે. એક વાર ઉત્તમ ગઝલ ગાયક કે અદ્વિતિય સંગીતકાર થવાની ક્ષમતા ધરાવનાર ગાયક તરીકે આશા જન્માવનાર કેવળ “ભજન સમ્રાટ‘ બનીને રહી જાય એવું પણ જોવામાં આવ્યું છે.
લોકભોગ્ય સંગીતની બાબતમાં પોતાની કલાનો ઉત્તમ દરજ્જો જાળવવામાં મેહદી હસન સાહેબનું ઉદાહરણ અનોખું છે. આપે ‘રાફતા રાફતા વોહ મેરી…’ સાંભળ્યું છે?
જિપ્સીને આશ્ચર્ય ત્યારે થયું કે પંજાબની સરહદે તેનાં જવાન આ ગઝલની પંક્તિઓ “પહલે જાઁ, ફિર જાન-એ-જાઁ…‘ આરામથી ગાતાં! આવી હતી તેમની આમ જનતામાં appeal! ગીતની શરૂઆત કરતાં જ લોકોમાં તાળીઓનો ગડગડાટ શરૂ થઇ જતો.
+ + +
મેહદી સાહેબ ગંભીર માંદગીમાં કરાંચીમાં દિવસો ગાળે છે. ભારત સરકારે તેમને ખાસ આમંત્રણ આપ્યું: ‘પધારો મ્હારે દેશ..” અમે તમારી સારવારનો પૂરો ખર્ચ ઉપાડીશું.
આમાં મહત્તા ફક્ત બે વાતોની છે: મેહદી સાહેબની કલાની અને બીજી તેમની કલાની કદર કરનારાઓની. કલા કદી સીમાની મોહતાજ નથી. નથી મોહતાજ તે હકૂમતની. હકૂમત તો આવા કલાકારોની કાયમ માટે ચાલતી રહી છે – જનતાના હૃદય પર!
આજનો પ્રયાસ કેવળ એક મહાન કલાકારને અંજલિ આપવાનો છે. મેહદી હસનસાહેબનો પરિચય કરવાની કોશિશ એટલે સૂર્યના પ્રકાશનું વર્ણન કરવા જેવું છે!
નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનુંભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળવધારતા, ચાલો આજે એક નવી રચનાને જાણીએ અને માણીએ.
આપણે જાણીએ છીએ તેમ, કવિવરનું કલાસભર વ્યક્તિત્વ આધ્યાત્મિકતાથી સરભર છલકતું હતું. તેમના જીવન જીવવાના દ્રષ્ટિકોણમાં શરીર ગૌણ અને આત્મા કેન્દ્રસ્થાને હતો. તેઓ દ્રઢપણે માનતા કે તેમની અંદર જે દિવ્ય શક્તિ રહેલી છે તેજ તેમની સર્જનાત્મકતાનો સ્તોત્ર બની રહી છે. ગુરુદેવ તેમનામાં રહેલી એ દિવ્ય શક્તિ સાથે સતત જોડાયેલા રહેતા, તેમના આત્માના અવાજ સાથે સતત સંવાદ સાધતા રહેતા અને તેમની ભીતરમાં પ્રજ્વલિત જ્યોત સાથે અનુસંધાન સાધતા રહેતા અને કદાચ એટલેજ એમના લખાણ અને કવિતાઓમાં એક આધ્યાત્મિક ઊંડાણ જોવા મળે છે.
આત્માના સાદ સાથે નિત્ય સંવાદ રચતા ગુરુવર માટે આ ભીતરની ગુંજ(inner voice) તેમનું જીવનચાલક બળ હતું. આ આત્માના સાદને કેન્દ્રમાં રાખીને રચેલી એક સુંદર સંવેદનશીલ રચનાને આજે આપણે જાણીશું. ૧૯૨૨માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે আমি কান পেতে রই (Aami Kaan Pete Roi) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “એ અનાહત નાદ…”. જેનું સ્વરાંકન કવિવરે રાગ બિભાસમાં કર્યું છે અને તેનેદાદરા તાલ દ્વારા તાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદકરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનોપ્રયત્ન કરીશું. આ રચનાને કવિવરે પૂજા વિભાગમાં વર્ગીકૃત કરી છે
એક અનાહત નાદ…
ભીતર ઉઠતી ગુંજને પારખવા જયારે મારા કાન રહે મંડાય
ત્યારે એક અનાહત, અવિનાશી નાદ સતત મને સંભળાય ક્યારેક મૌન રુદન તો ક્યારેક હરખની હેલીના સૂર છેડાય
ભીતરની ગુંજ એટલેકે inner voice એટલેકે આપણા અંતરાત્માનો અવાજ. આ રચનામાં કવિવરે ખુબ નજાક્તતાથી એના અસ્તિત્વનું સમર્થન તો કર્યું જ છે અને સાથેસાથે એ ભીતરની ગુંજ દ્વારા અપાતા સંદેશા તેમના શબ્દો અને સૂર દ્વારા વહી નીકળે છે તે પણ સુપેરે રજુ કર્યું છે અને કવિવરની રચનાના ઊંડાણને જોતા કદાચ આ ભાવ માત્ર ભાવ નહિ પણ હકીકત લાગે છે. આ ભીતરની ગુંજ પણ આપણા મનોભાવો પ્રમાણે આપણને જુદા જુદા સંદેશ આપતી હોય તેવા ભાવ આ રચનામાં વ્યક્ત કરેલ છે.
મારા, તમારા અને આપણા સૌમાં આ ભીતરની ગુંજ સતત ગુંજ્યા કરે છે, આપણને જીવનમાં GPS બની સતત સાચો માર્ગ દેખાડવા પ્રયત્ન કરે છે. પણ આપણે જ કદાચ કાન દઈને સાંભળવા તૈયાર નથી હોતા. આ ભીતરની ગુંજ તો એકદમ નિર્મળ અને અણીશુદ્ધ હોય છે પણ આપણે આપણી અંદરના દૂન્યવી કોલાહલને લીધે આ અવાજ કોઈક વાર દબાઈ જાય છે અથવા આપણા મનોભાવો પ્રમાણે આપણને જે સાંભળવું હોય તેજ આપણે સાંભળીએ છીએ.
જયારે સમગ્ર જગતથી તમે એકલા થઇ ગયા હોય, જયારે જિંદગી કોઈક આંટીઘૂંટીમાં અટવાઈ હોય કે પછી જયારે મન તેની તર્કશક્તિ અને વિચારશક્તિ ગુમાવી બેસે એવા સંજોગો ઉભા થાય ત્યારે આ ભીતરનો નાદ આપણો હાથ ઝાલીને સાચા રસ્તે લઇ આવશે – જો આપણે તેને શાંત ચિતે સાંભળવાનો પ્રયત્ન કરીશું તો….
આપણા અંતરનો અવાજ એ તો આપણામાં રહેલા પરમ ચૈતન્યના અંશના અસ્તિત્વનું પણ સમર્થન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં અનેક શ્લોકમાં આપણા આત્મામાં એમની પરમ શક્તિનો અંશ રહેલો છે તે રજુ કર્યું છે જેમકે
એટલેકે પરમાત્માની કૃપાથી તેમની દિવ્ય શક્તિનો અંશ આપણામાં પ્રજ્વલિત રાખે છે અને આ દિવ્ય શક્તિનો અંશ જે આપણામાં રહેલો છે તેના થકીજ મારો-તમારો શ્વાસ ચાલે છે અને તેથીજ વૈદિક વિચારધારા પ્રમાણે આ ભીતરની ગુંજ એટલેકે એટલે એક અનાહત નાદ, મારા શ્યામનો સાદ અને પરમ પરમાત્માનો પ્રસાદ …
તો ચાલો, આ ભીતરની ગુંજને સતત સાંભળતા અને સમજતા રહેવાના પ્રયત્ન કરવાના નિશ્ચય સાથે હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,
સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
ચેન્જેબલ હોક-ઈગલ (Nisaetus cirrhatus), જેને ગુજરાતીમાં મોરબાજ તરીકે ઓળખવામાં આવે છે, એ ગુજરાતના શક્તિશાળી નિવાસી શિકારી પક્ષીઓમાંનું એક છે. તે મોટું ગરુડ જેવું પક્ષી છે, જેના પહોળી પાંખો, લાંબી પૂંછડી અને માથા પરની કલગી તેને સરળતાથી ઓળખી શકાય તેવું બનાવે છે. શિયાળામાં ગુજરાતમાં આવતા ઘણા સ્થળાંતર કરનારા શિકારી પક્ષીઓથી વિપરિત, મોરબાજ વાર્ષિક સ્થળાંતર કર્યા વિના આખું જીવન એક જ વિસ્તારમાં પસાર કરે છે.
અંગ્રેજીમાં તેનું નામ “ચેન્જેબલ હોક ઇગલ” તેના બે અલગ અલગ રૂપ પર થી જોવા મળે છે, અમુક પક્ષીઓ આછા સફેદ અને ભૂખરા રંગના હોય છે જેને અંગ્રેજીમાં “પેલ મોર્ફ” કહેવાય છે, અને અમુક પક્ષીઓ ઘાટા ભૂરા અને કાળાશ પડતા ભૂરા રંગના હોય છે, તેમને “ડાર્ક મોર્ફ” કહેવાય છે.
[મોરબાજ પેલ મોર્ફ (Changeable hawk eagle pale morph)]
[Changeable hawk eagle; dark morph]મોરબાજ નામ પાછળની વાર્તા પણ ખૂબ રસપ્રદ છે. જૂના સમયમાં લોકો પાસે મનોરંજનનાં આજના સમય જેટલાં સાધનો નહોતાં. પ્રકૃતિને નિહાળવું એ પણ મનોરંજનનો એક ભાગ હતું. કોઈ વિશાળ બાજ જેવું પક્ષી અચાનક મોર પર હુમલો કરીને તેને સરળતાથી પકડી લે તે જોવું ખૂબ જ અદ્ભૂત દૃશ્ય હશે. કદાચ આ કારણે લોકો તેને મોરબાજ; મોરનો શિકાર કરનાર બાજ કહેવા લાગ્યા હશે. મોર ખરેખર તેના સંભવિત શિકારમાં સામેલ છે, જોકે તેનો આહાર માત્ર મોર પૂરતો સીમિત નથી.
ગુજરાતમાં મોરબાજ મુખ્યત્વે ગીર અને રાજ્યના અન્ય જંગલ વિસ્તારોમાં જોવા મળે છે. જોકે તે માત્ર ગાઢ જંગલ પૂરતો સીમિત નથી. જ્યાં જંગલની સાથે ખેતી, ઝાડી ઝાંખરા અને ખુલ્લી જમીન હોય ત્યાં પણ તે જોવા મળી શકે છે. મોટા વૃક્ષો તેને માળો બાંધવા, આરામ કરવા અને શિકાર પર નજર રાખવા માટે જગ્યા આપે છે. જ્યારે જંગલની ધાર, ખુલ્લા વિસ્તારો અને આસપાસની જમીન શિકાર માટે ઉપયોગી બને છે.
મોરબાજ એક શક્તિશાળી શિકારી છે. તે ઘણીવાર ઊંચી ડાળી પર શાંતિથી બેસીને આસપાસના વિસ્તારમાં શિકાર શોધે છે અને યોગ્ય તક મળતાં અચાનક નીચે ઝપાટો મારે છે. તેનો આહાર ખૂબ જ વૈવિધ્યસભર છે. તેના શિકારમાં ગરોળી, કાચિંડા, ખિસકોલી, ઉંદર, ચામાચીડિયા અને મેના, બુલબુલ, પોપટ, કબૂતર તથા વિવિધ જમીન પર રહેતા પક્ષીઓનો સમાવેશ થાય છે. મોર પણ તેનો શિકાર બની શકે છે. કેટલાક સ્થળોએ મોરબાજ દ્વારા નાના મગરનાં બચ્ચાંનો શિકાર કર્યાના અહેવાલો પણ મળ્યા છે. આવી ઘટનાઓ અસામાન્ય છે, પરંતુ તે મોરબાજની શિકાર કરવાની ક્ષમતા અને ઉપલબ્ધ તક પ્રમાણે શિકાર પસંદ કરવાની ટેવ દર્શાવે છે.
[ગીરના જંગલમાં મોરબાજ એક મોટા ચામાચીડિયા (ફ્રૂટ બેટ)ના શિકાર સાથે]મોરબાજનું નિવાસી પક્ષી હોવું પણ રસપ્રદ છે. સ્થળાંતર કરનારા પક્ષીઓ ઋતુ પ્રમાણે એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જાય છે અને જ્યાં ઋતુ મુજબ ખોરાક વધુ હોય ત્યાં તેનો લાભ લે છે. પરંતુ નિવાસી પક્ષીને આખું વર્ષ લગભગ એક જ વિસ્તારમાં રહેવું પડે છે. તેને ઉનાળાની ગરમી, ચોમાસું, શિયાળો અને ઋતુ પ્રમાણે ખોરાકમાં થતા ફેરફારોનો સામનો કરવો પડે છે.
નિવાસી પક્ષીને પોતાના વિસ્તારની પણ સારી જાણકારી હોય છે. કયા વૃક્ષ પર માળો બનાવી શકાય, ક્યાં શિકાર વધારે મળે છે અને કઈ જગ્યાએ બેસીને શિકાર પર નજર રાખી શકાય છે, આ બધું તે લાંબા સમય દરમિયાન શીખી શકે છે. તેથી એક જ વિસ્તાર ઘણા વર્ષો સુધી તેના માટે મહત્વનો બની શકે છે.
મોરબાજનું સંરક્ષણ માત્ર મોરબાજને બચાવવા પૂરતું નથી. મોરબાજની હાજરી એ દર્શાવે છે કે તે જંગલ અથવા લેન્ડસ્કેપ જૈ વૈવિધ્યથી સંપન્ન છે અને પૂરી રીતે સ્વાવલંબી છે.
આગલી વખતે ગુજરાતના કોઈ જંગલ કે જંગલની ધાર પર ઊંચા વૃક્ષ પર કલગીવાળું મોટું ગરુડ જેવું પક્ષી બેઠેલું અથવા વહેલી સવારે મસ્ત કિકિયારીઓ મારતું જોવા મળે, ત્યારે ધ્યાનથી જોવું અને જંગલના આ રોયલ પક્ષી ને જરૂરથી નિહાળવું!
“ માળું આનું કારણ શું ? ઓણના વરહમાં વરસાદ ખૂબ સારા વરસ્યા, રોગ-જીવડાની કનડગત પણ હર વરહના પ્રમાણમાં ખૂબ ઓછી રહી અને ખેડૂતોએ ખાતર-પોતર અને સાંતી-સડની માવજત પણ સારા વરહની લાલચે ને લાલચે એવી કરી હતી કે મોલાતે જ્યાં પાણી માગ્યું ત્યાં દૂધ હાજર કર્યું હતું. પણ મારા ખ્યાલે ચોમાસુ કે શિયાળુ એકે ય મોલની ઉપજમાં આપણ ખેડૂતના કોઠા ઠારે એવો હોંકારો નથી મળ્યો. આ બાબતે તમારું શું કહેવાનું છે પોપટભાઇ ?” કૃષિ વિકાસ મંડળની મીટીંગમાં કૃષિ.યુનિ.જુનાગઢના વિષય નિષ્ણાંત –મુખ્ય મહેમાન આવી પહોંચે તે પહેલાના અંદરોઅંદરના “અનુભવની આપલે” કાર્યક્રમની વેળાએ “ઓણનું વરહ કેવું રહ્યું ?” એ વિષય પરની ચાલતી ચર્ચામાં ઠાકરશીભાઇએ પોતાનો બળાપો કાઢ્યો.
“તમારા આ અભિપ્રાયે ઠાકરશીભાઇ ! મારા મનની જ વાત કરી દીધી. મને ય એમ જ લાગ્યું છે કે એક કહેતાં એકે ય મોલમાં ઉતારા બાબતે ઓણ સાલ ભલીવાર ભળાણી નથી. અમારી બાજરીનો પ્લોટ નિંઘલ્યો ત્યારે ઘેરા ઉપર ડૂંડાની ખાપ બાજી ગઈ હતી. ડૂડાની ભરતી અને એનું રૂપ જોઇને વીઘે ચાલીશ ચાલીશ મણ ઉતરી પડશે એવી ‘ઢાળ’ નજરે જોનારા બધા મૂકતા હતા. પણ ખળું લીધું ત્યાં ‘ઢાળ’ ની હવા નીકળી ગઈ ! વીઘે માંડ 28 મણ જેવો ઉતારો આવ્યો.” પોપટભાઇએ ઠાકરશીભાઇના અભિપ્રાયમાં શાખ પૂરી.
“ ઓણના વરહમાં કંઇક એવું બન્યું છે કે બધી મોલાતો ‘ઉતારા’ બાબતે જોઇએ તેટલું હીર દેખાડી શકી નથી. અમે કપાસના પાટલામાં અરધામાં મગ અને અરધામાં અડદનો ચાસ વાવેલો. બન્નેમાં છોડવા ખૂબ ફાલ્યા. આવેલી શીંગો જોઇ હોય તો લાંબી સાંઘરા જેવી ! પણ અંદર દાણા જે સાત-આઠ હોવા જોઇએ –એને બદલે ત્રણ ત્રણ ને ચચ્ચાર જ ! એક બ્લોક જી-20 મગફળીનો હતો. એમાંયે બસ એવું જ થયું ! છોડવા જોયા હોય તો નજર ત્યાં જ ઠરી જાય તેવા પહટેલા ! અને છોડવો ખેંચીએ તો શીંગો યે વળગેલી નીકળે મોટી ડઘોરા જેવડી ! પણ અંદરથી પોલી ભમ ! ફોફું લોંઠકું ને અંદર દાણા માયકાંગલા ! ચકલાની જીભ જેવા-કરચલી વાળા ! ધારણા તો એવી હતી કે ઉતારો બેસશે વીઘે ખાંડી ખાંડી ! પણ તમે કહો છો એ વાત સાચી કે આ વરહમાં કંઇક એવું વાંકું પડી ગયું છે કે જે કળ્યામાં તો ભલે નથી આવ્યું, પણ એની માઠી અસર ઓછા ઉતારામાં જરૂર દેખાઇ આવી છે. અમારે મગફળી ઉતરી 8 વીઘામાંથી માત્ર છ ખાંડી બોલો !” રાજનભાઇએ પણ પોતાને થયેલ અનુભવની વાત કરી.
મને તો ઘણી યે વાર થયો છે. તમને પણ ઠાકરશીભાઇ, પોપટભાઇ અને રાજનભાઇને થયો તેવો અનુભવ-જો બરાબરનું નિરિક્ષણ કર્યું હોય તો થયો હોવો જ જોઇએ. તો મિત્રો ! આમ થવાનું દેખીતું કારણ કોઇ ન જડે ત્યારે આપણા વડવાઓ આવા વરહને “કણહિણું વરહ” કહેતા. અને “એના નિરાકરણની આપણા હાથની વાત નથી, એ તો પ્રકૃતિના ‘સવા-કવા’ ના હાથની વાત છે” એમ કહીને મન મનાવતા.
સવા –કવા એટલે શું ? કોઇ પણ ઘટના પાછળ કોઇને કોઇ વૈજ્ઞાનિક કારણ તો હોવાનું જ ! એટલે ‘સવા’ એટલે શું ? અને ‘કવા’ એટલે શું – એ કોના હિસાબે આવ્યા-ગયા કરે છે તે સમજવું આપણા માટે અગત્યનું થઈ પડે છે. તો મિત્રો ! સવા = સારો વાયરો અને કવા=ખરાબ વાયરો એવો અર્થ આપણે કરી શકીએ. ઉત્પાદન બાબતે બધી વાતાવરણીય બાબતો અનુકૂળ રહે તે ‘સવા’ અને ખાતર-પાણી અને અન્ય માવજતો બરાબરની કરી હોવા છતાં કંઇક એવા ફેરફાર સર્જાય કે જેના હિસાબે ઉત્પાદન પર માઠી અસરો આવી જાય એનું નાક ‘કવા’ ! જરા ઊંડા ઉતરીને નિરિક્ષણ પરિક્ષણ પાછળ સમય આપીએ તો જરૂર જણાઇ આવશે કે એ હતી વરસ દરમ્યાન મોલાતને સમયે સમયે મળવી જોઇતી કુદરતી વાતાવરણની ખામી !
જરૂરિયાત બધાની છે.: જેમ છોડવાને ઊભવા અને ખોરાક મેળવવા માટે પૂરી ફળદ્રુપ અને સારા બંધારણવાળી જમીન હોવી જરૂરી છે, તેમ ઉગવાથી માંડી પાકટ અવસ્થા સુધી મૂળ વિસ્તારમાં જરૂરી ભેજની હાજરીની જરૂર છે, જેમ એની ઉપર આવનારા રોગ-જીવાતના હુમલા વખતે દવા-દારુ અને સાથ-સહકારની જરૂર છે, તેવું જ વનસ્પતિના ઉગવાથી માંડી આખર સુધી જે જે વનસ્પતિના સ્ટેજ કે સમયને અનુકૂળ હોય તેવા “વાતાવરણ” ની પણ એટલી જ જરૂરિયાત હોય છે. વનસ્પતિ પોતે સંપૂર્ણરીતે પ્રકૃતિના જ આદેશને અનુસરનાર જીવ હોઇ, જ્યારે જ્યારે વાતાવરણમાં અણધાર્યા અને વણકલ્પ્યા હુકમો આવી ચડે ત્યારે એ પોતાના જીવનચક્રમાં પણ બદલાવ લાવ્યા વિના રહી શકતી નથી. જેથી ખાતર, પાણી અને સંરક્ષણ બધાં બરાબર રીતે સચવાયા હોવા છતાં વાતાવરણ યોગ્ય ન રહ્યું,તેની ઉત્પાદનના જથ્થા ને ગુણવત્તા પર માઠી અસર આવ્યા વિના રહેતી નથી.
વાતાવરણમાંથી વનસ્પતિ માત્ર પોતાને શ્વસનમાં જરૂરી ઓક્સીજન જ મેળવે છે એવું નથી, વરસાદ વખતે નાઇટ્રોજન પણ એ વાતાવરણમાંથી પામી શકે છે. તે સૂર્યસૂર્યપ્રકાશની હાજરી વખતે કાર્બન ડાયોકસાઈડનો પણ પોતાનો ખોરાક રાંધવા માટે ભરપેટ ઉપયોગ વાતાવરણમાંથી જ કરે છે. વળી વાતાવરણના ભેજ કે ગરમીના પ્રમાણમાં વધ-ઘટ થાય તો પણ વનસ્પતિમાં હરતા-ફરતા ને તેના અંગ-ઉપાંગોને ખોરાક તરીકે વાપરતા કે તેમાંથી રસ ચૂસતા જીવડાંઓની હયાતી, સંખ્યા અને વધ-ઘટ બાબતે પણ એટલા જ ફેરફારો થતા રહેતા હોય છે. વળી કેટલાક ફૂગ-વાયરસના રોગકારક વિષાણુંઓ પણ વાતાવરણીય ઠંડી-ગરમી કે ભેજયુક્તતાને ધ્યાને લઈ વધઘટ થવા પામતા રહેવાનાં.
એટલે આખી સિઝન દરમ્યાન વાતાવરણ મોલાતને અનુકૂળ રહ્યુ છે કે રહ્યુ છે પ્રતિકૂળ ? તેની બહુ મોટી અસરો ઉત્પાદન ઉપર પડતી હોય છે. આપણે એવા કેટલાક ઉદાહરણ તપાસીએ કે જેમાં કેવળ વાતાવરણે આવો ભાગ ભજવ્યો હોય !
આ રહ્યા બોલતા પૂરાવા :
[૧] પાંદડાંદજાડીદીધાંહોય : અમારો ગઢડા તાલુકો એટલે ગણાય સૂકો વિસ્તાર. અહીં ઉનાળો હોય વધુ આકરો ! ગયા વરસે [2010] કેટલાક સાહસિક ખેડૂતોએ કેળ અને પપૈયાના વધુ વળતરની ધારણાએ પોતાના ગજા પ્રમાણેનાં વાવેતર કરેલાં. બન્યું એવું કે ચોમાસુ સાવ નબળું રહ્યું અને શિયાળો પૂરો ઠર્યો નહીં. એટલે ચોમાસા-શિયાળા દરમ્યાન કેળ-પપૈયાના છોડવા ધાર્યો વિકાસ સાધી શક્યા નહીં ત્યાં પહોંચી ગયો ઉનાળો ! કેળ અને પપૈયા બન્નેનાં પાંદડાં હોય પતંગ જેવા પહોળા અને કાગળ જેવા પાતળાં ! અને હોય પાછા એવા કુમળા, કે એને તો હવાના આંચકા યે ફાડી નાખે ! અને ઓણના ઉનાળાનો તડકો જાણે ધગધગતી આગની ઝાળો ! કેળ- પપૈયાના પાંદડાં એ તાપ ન જીરવી શક્યાં. પાંદડાંની નસો બધી ગઈ દાજી અને સપાટી બધી ગઈ શેકાઇ ! શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ બન્ને કાર્યો ખોરંભાયા ! ન સમયસર પપૈયા પાક્યા કે ન કેળની લૂમ ! સિઝન આખી ખોઇ બેઠા ! ખાતર-પોતર ને દવા-દારૂ બાબતે છોડવાને મોઢે માગી માવજત – કહોને ગાદલું અને ગોદડું બે સિવાય બધું આપ્યું હતું ! છતાં આ સૂકા વિસ્તારનું ગરમ વાતાવરણ ખેતીવાડીના સુંવાળા છોરું કેળ-પપૈયા બન્નેને ભરખી ગયું 1
[૨] ફલીકરણમાં વાંધો પડે :
[અ]…….અમારા પંચવટી બાગમાં આમળાંના ઝાડવાનો મોટો ઘેરો છે. આ ઝાડવાની આદત એવી છે કે ફૂલો ખિલવે શિયાળા-ઉનાળાની બરાબર ગડાસાંધ જોઇને ! જ્યારે ઠંડી-ગરમી બન્ને હોય માપસરના. આમળાના નર-માદા ફૂલોની રજ-મિલન પ્રક્રિયાને આ ઋતુ બહુ અનુકૂળ ! ઠંડી વધુ હોય તોય નો ફાવે અને ગરમી વધુ હોય તો પણ વાંધો પડે 1
ચાલુ વરસે સિઝન આખીનો વરસાદ પડ્યો માંડ ૫ ઇંચ. એટલે પિયતના પાણીની તો ખેંચ જ હોવાની ? સૌરાષ્ટ્ર વિસ્તારમાં ફળો ઉતારી લીધા પછી આરામ ઉપર ઊતરી ગયેલા ઝાડવાને થોડુક પિયત દેવાય તો જ એ સમાધી અવસ્થામાંથી જાગૃત થઈ, નવા ફૂલ ધારણ કરવા પ્રેરાય છે. ટપક દ્વારા પિયત આપવાની મથામણ તો કરી, પણ એમાંયે પાણી ઓછું પડ્યું, ને આરામ અવસ્થામાંથી જાગૃત થતાં લાગી વાર ! અને ઉનાળાની ગરમી આંબી ગઈ ! મોડાં મોડાં યે ઝાડવાં પર ફૂલો તો ખિલ્યાં, પણ સમધાત ઠંડી-ગરમીનો ગાળો છાંડી જવાયો. મોડા પડ્યા. અને કાળઝાળ ગરમીમાં કોમળ પ્રજનન અવયવો તેના મિલન પહેલાં જ મરુ બની ગયા ! ને આમળાંના ઝાડવાં ફાલ વિનાનાં ખાલી રહી ગયાં !
[બ]……….બાજરાનો ઘેરો બરાબર થૂલીએ આવ્યો હોય અને ઝરમર ઝરમર વરસાદ વરસવાનો શરૂ થાય, આકાશ આખું વાદળોથી ઢંકાયેલું જ રહે, ૪ – ૫ દિવસ ઉઘાડ દેખાય જ નહીં, એટલે બાજરાનાં ડૂંડાંની શી વલે થાય ? કલ્પના કરો જોઇએ ! ઉપરથી સૂર્યપ્રકાશ મળે તો થૂલી સુકાય, અને થૂલી સુકાય તો જ ફૂલોની રજ ઊડેને ! ઘણા દાડે વરસાદ બંધ થાય ત્યાં તો ફૂલોને ખિલવાની વેળા જ વીતી ગઈ હોય ! કેટલાય ફૂલડાં વાંઝિયા રહી જવા પામે ! ડૂંડાં હોય ફટાફટ ફાંટ ભરાઇ જાય એવડાં, પણ અંદર દાણા બાબતે અરધોઅરધ હોય ખાલી ! બાજરો ઉતારો લે ક્યાંથી ? આપણે માનીએ વરહ “કણહીણું” થયું, પણ આમ થવા પાછળનો જશ તો ફૂલો વખતના પ્રતિકુળ વાતાવરણને જ ભાગે જાય ને ?
[૩] સ્વભાવ બદલી નાખે :
[અ ]……….દિવેલાના બીજ-ઉત્પાદન પ્લોટમાં અનુભવ્યું છે કે સામાન્ય રીતે ‘માદા’ ના છોડ પર ‘નર’ ફૂલો નથી આવતા. પણ જો વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે તો માદા છોડવા પણ નર ફૂલો ખિલવવા લાગી પડે છે. [જે રોગીંગના રૂપે કાઢી નાખવા પડે છે] જે દિવેલાના છોડનો સ્વભાવ માત્ર ‘માદાફૂલો’ જ ખિલવવાનો હતો તેને વાતાવરણ પોતાનું ધાર્યું કરાવી ‘નરફૂલો’ ખિલવતું કરી દે, એ કાંઇ જેવી તેવી આડોડાઇ ગણાય ? અને એનાથી સાવ ઉલટું- ખલેલાના ‘નર’ ઝાડને કદિ ‘માદા’ ફૂલો ખિલતા હોતા નથી. પણ 2010 ની સાલના ઉનાળાના વાતાવરણે પંચવટી બાગના એક નરના ઝાડવાને ‘માદા ફૂલો’ જથ્થાબંધ ખિલવ્યા અને ફળોનું બંધારણ પણ અમારી અજર સામે જ ગોઠવી દીધું હતું બોલો !
[બ]……..ગાજર અને ડુંગળીની વાવણી સામાન્ય રીતે ચોમાસુ પુરું થયે કરાય. શિયાળાનું ઠંડું અને સુકું હવામાન ગાજરના ગડા અને ડુંગળીના દડા બનાવવામાં બહુ અનુકૂળ ! પણ જો વાતાવરણ થોડુકેય માપથી વધુ ગરમ બન્યું ? તો પછી વાત ગઈ ! એ ના એ જ ગાજરના છોડવામાં ‘ગાજરા’ બની જઈ, ઉપર ફૂલના મોટા ગોટા ખિલવી દે, અને ભોંયમાં ગાજરના ગડા બનવાને બદલે બની જાય સોટી જેવું પાતળું મૂળિયું ! ડુંગળીબાઇ પણ ભોંયમાં દડાને મોટો કરવાનું બંધ રાખી ઉપર કાઢી જાય ‘મોઘરા’ ! કંદ બનાવવાની તાકાતને ફેરવી દે બીજ બનાવવામાં. ઉત્પાદનનો જથ્થો અને ગુણવત્તા બન્ને બની જાય રાંક !
[૪] ફાલની ઋતુ બદલાવી નાખે :
[અ]………શ્રી મનુભાઇ પંચોળી[દર્શક] ની સ્થાપેલી લોકશાળા ‘મણાર’ આવી અલંગના દરિયા કાંઠે. ત્યાં કેસર આંબા, નાળિયેરી અને ચીકુના ઝાડવાં આવકમાં ખૂબ સારો હોંકારો આપે છે. પણ આમળાંના ઝાડવાંને એનું વાતાવરણ એવું વાંકુ પડાવે કે વાત કરવાની નહીં ! ફૂલો આવે ફેબ્રુઆરી-માર્ચ માસમાં-યોગ્ય સમયે જ. પણ અન્ય વિસ્તારોમાં જેમ સીડસેટીંગ પછી એનું નાનું ભૃણ ચાર મહિના સુશુપ્તાવસ્થામાં ચાલ્યુ જાય, તેવું અહીંના વાતાવરણમાં બને નહીં ! અહીં તો ફલીકરણ થયા ભેળું બચડું માંડે વધવા ! તે શ્રાવણ-ભાદરવો આવતા તો પાકીને ટહા જેવું થઈ માંડે કહેવા કે ‘હવે મને ઉતારો’ ! એ વખતે વેચાણ માટે માર્કેટમાં લઈ ગયે કોઇ ગ્રાહક કે વેપારી સામુ જ ના જૂએ ! કોઇ ધણી જ ના થાય એનું શું ? આમળાંનો સાચો ઉપયોગ શિયાળે ઠંડી શરૂ થયા પછી જ લોકો કરે. કરવું શું ? કટાણે પાકેલા આમળાં નાખવા ક્યાં ? ઝાડવા ખોદી નાખવા પડ્યા બોલો ! અને એનું નિમિત્ત ‘વાતાવરણ’ બન્યું.
[બ]…. ૨૦૧૦ નો ઉનાળો શરૂ થતાં કંઇક એવી જાતનું વાતાવરણ સર્જાયું કે આંબા, લીમડા અને ગુંદા–ત્રણેયના ઝાડવાં છેતરાઇ ગયાં ! ઠંડી-ગરમીનો કંઇક એવો મેળ બેસી ગયો કે વૃક્ષો એવા ભ્રમમાં પડી ગયા કે ‘આપણી ફળવાની ઋતુ આવી ગઈ’! અને માળાં ફૂલો માંડ્યાં ખિલવવા ! તે ચાર મહિના અગાઉ લીમડે લીમોળી પાકી પડી અને કેરી તો પાકીને બજારમાં વેચાવા પહોંચી ગઈ ! આ ‘કટાણે’ ફાલ લગાડી દેવા પાછળ ખરચાઇ ગયેલી ત્રેવડનો ઘોબો ‘ટાણાહર’ ની ફાલની વેળાએ પડ્યા વિના થોડો રહેવનો કહો !
[૫] પાકના વર્ધન-ઉત્પાદનમાં અવરોધ સરજે : જે વરસે શિયાળામાં પૂરી ઠંડી ના પડે, તે વરસે ઘઉંના છોડવાને ફૂટ્ય ઓછી થાય, તેનો વિકાસ અવરોધાય, ઉપર ડૂંડી ટુંકી નીંઘલે અને ડૂંડીમાં દાણાની સંખ્યા ઘટે. અને બંધાયેલા દાણા પણ ન હોય પૂરા પોઢા કે ન હોય વજન બાબતે પૂરા નક્કર ! પછી ઉતારો લે કેમ કરીને કહો ! આવું જ શિયાળુ મોલ બધા- જીર, મેથી, ધાણા, રાઇ, ઇસબગુલ, વરિયાળી કે એરંડા સુધ્ધામાં યોગ્ય વાતાવરણ ન મળે તો ઉત્પાદન પર માઠી અસર પડ્યા વિના રહેતી નથી.
[૬] રોગ-જીવાતનો વધારો વહોરી ‘કવા’ લાવે : તમે જૂઓ ! ચોમાસુ હોય એટલે હવામાં ભેજની હાજરી હોવાની.અને એમાં જો ગરમી શરૂ થઈ ? એટલે ઉપદ્રવી જીવડાઓને તો ગોળના ગાડાં મળી જાય ! એની વંશવૃદ્ધિનું ચકરડું બમણા-ત્રમણા જોરથી ફરવા માંડે ! એનો તો કાળો કેર શરૂ થાય ! જમીનજન્ય રોગો પણ ભોંયમાંથી માથાં કાઢે ! કહો, આ બધાથી ઉત્પાદન બાબતે ભૂંડો અકસ્માત સરજાય કે નહીં ? અને આનો જશ બસ, વાતાવરણને જ દેવો પડેને ? તમારું શુ કહેવાનું છે, કહો !
આ વાતને નક્ષત્રોનો ટેકો : ચોમાસામાં ક્યા નક્ષત્રમાં કેવું વાતાવરણ હોય છે, અને આ ટાણે વરસેલો વરસાદ કેવા પરિણામ લાવે એનો વર્ષો સુધી અભ્યાસ કર્યા પછી ખેડૂતોના વડવાઓએ તારણ કાઢ્યાં છે-આદ્રા, મઘા અને પૂર્બા-સ્વાતિ જેવા મીઠાં નક્ષત્રોમાં વરસેલા વરસાદે મોલાતમાં ‘સવા’ જ આવે. જ્યારે અષલેખા,અને પૂનરવસુ જેવાને કડવા તથા હાથિયાને તોફાની નક્ષત્રો ગણાવ્યા છે. એમાં વરસેલા વરસાદે રોગ-જીવાત કે ‘કવા’ લાવે તેવા અનુમાનો કર્યા છે, તે બસ ! ‘વાતાવરણ’ ને જ ધ્યાને લઈ કરેલા જણાય છે. પ્રકૃતિએ વનસ્પતિને વાતાવરણીય ફેરફારોને આધિન રહીને વર્તન કરવાનો આદેશ આપેલો છે. તમે જૂઓને ! દિવાળીટાણું આવે આવે ત્યાં મેડા માથે પડ્યા પડ્યા ડુંગળીના દડા-નહીં જમીન કે નહીં ભેજ તો પણ –આપમેળે પાંદડાં કાઢવા માંડે ! અને લસણના ગાંઠિયા માહ્યલી કળીઓ લીલાં મોઢાં કરી કરી ફોતરાંની બહાર ડોકાવા માંડે ! આપણે સમજી જવું જોઇએ કે લસણ-ડુંગળીનો હવે વાવણીનો સમય પાકી ગયો છે ! આવા રોજ-બરોજના વાતાવરણીય ધ્યાનથી નિરિક્ષણ કરી-સમય સાચવી ખેતીકાર્યો કરી વાળનારા ખેડૂતો ઉત્પાદન બાબતે જરૂર સફળતા મેળવતા હોય છે.
ભારતની વૈજ્ઞાનિક સંસ્થાઓની વાત આવે ત્યારે ‘ઇસરો’ (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)નું નામ વાજબી ગૌરવથી લેવામાં આવે છે. મર્યાદિત સંસાધનો હોવા છતાં સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દે એવી સિદ્ધિઓ આ સંસ્થાએ પ્રાપ્ત કરી છે. આથી જ તે કેવળ એક સરકારી સંસ્થા નથી, પણ તેને ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાનું પ્રતીક ગણાવી શકાય. આવી સંસ્થાના વરિષ્ઠ અને અનુભવી વિજ્ઞાનીઓ ખાનગી અવકાશ કંપનીઓમાં જોડાવા માટે રાજીનામાં આપવા લાગે, તેને એક એવી ચેતવણી ગણવી જોઈએ, જે સરકારને આત્મદર્શનની એટલે કે અરીસામાં જોવાની ફરજ પાડે. ઊચ્ચ વળતર માટે વિજ્ઞાનીઓની લાલચ કે બહેતર ભવિષ્ય માટે નોકરી બદલવા જેવા ઊપરછલ્લા મુદ્દાઓમાં આ મામલો સમેટી લેવાય એવો નથી. મૂળ સવાલ એ છે કે સરકાર આ બાબતને શી રીતે જુએ છે?
એ હકીકત છે કે ખાનગી કંપનીઓ માટે ભારતમાં અવકાશનું ક્ષેત્ર ખુલ્લું મૂકાયા પછી અનેક નવી તકો ઊભી થઈ છે. આમ તો, આ વિકાસનો સ્વાભાવિક ક્રમ છે, કેમ કે, વિવિધ ક્ષેત્રે ખાનગી કંપનીઓનો પ્રવેશ થવાથી સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થાય અને ગ્રાહકને વધુ વિકલ્પ મળે એ આશય છે. આ સંજોગોમાં ‘ઇસરો’ના કેટલાક વિજ્ઞાનીઓ ખાનગી ક્ષેત્ર તરફ વળે, તો એમાં કશી નવાઈ ન લાગવી જોઈએ. પણ અહીં મુખ્ય ફરક અન્ય ક્ષેત્ર અને ‘ઈસરો’ વચ્ચેનો છે. સવાલ એ નથી કે તેઓ શા માટે જાય છે; મૂળ સવાલ એ છે કે તેઓ કયા કારણે ‘ઇસરો’ છોડી રહ્યા છે.
આવા નાજુક મુદ્દે સરકાર સામાન્ય રીતે નિયંત્રણના હથિયારથી કામ લેતી હોય છે. જેમ કે, રાજીનામું મૂકીને ગયા પછી એ સરકારી કર્મચારી અમુક સમય સુધી ખાનગી કંપનીમાં નોકરી ન કરી શકે, એ અંગેના નિયમોને વધુ કડક બનાવવામાં આવે વગેરે.. પણ આ ઊપાયો ખરું જોતાં કેવળ રોગનાં ચિહ્નોનો ઈલાજ કરે છે. મૂળ રોગ એમનો એમ રહે છે. કોઈ પણ વ્યક્તિને સંસ્થામાં રોકી રાખવાનો સૌથી હાથવગો રસ્તો પ્રતિબંધોનો છે. પણ કોઈ પણ ભોગે વ્યક્તિ નોકરી છોડવા ઈચ્છતી હોય, અને એનું મુખ્ય કારણ પોતાની કારકિર્દીની બહેતર તક હોય, તો પ્રતિબંધો ખાસ કારગર નીવડતા નથી.
‘ઇસરો’ની છબિ અને ત્યાંની કાર્યસંસ્કૃતિ અત્યાર સુધી બિનવિવાદાસ્પદ અને ગૌરવપ્રદ બની રહી છે. પડકારજનક કામ, રાષ્ટ્રીય ગૌરવની અનુભૂતિ અને વિશ્વસ્તરીય પ્રોજેક્ટ પર કામ કરવાની તક જેવી વિવિધ બાબતોનો સંગમ ત્યાંની નોકરીમાં થયેલો છે એમ કહી શકાય. અલબત્ત, આ પાસાં બહારની વ્યક્તિને આકર્ષક જણાય, પણ અંદર રહીને કામ કરનાર તેને જુદી દૃષ્ટિએ જોતા હોય એમ બને ખરું. વ્યક્તિગત વિકાસની ગતિ, પ્રમોશનની પારદર્શિતા, સંશોધનની સ્વતંત્રતા, યોગ્ય વેતન, નવી જવાબદારીઓ અને ભવિષ્યની તકો જેવાં પાસાં પણ તેઓ જોતા હોય છે. આવા મામલે સરકારી માળખું પાછળ રહી જાય તો અસંતોષ પેદા થવો સ્વાભાવિક છે.
અલબત્ત, ભારત માટે આવો પડકાર નવો નથી. થોડાં વર્ષ પહેલાં ભારતીય હવાઈ દળને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અનુભવી પાયલટો સમય પહેલાં નિવૃત્તિ લઈને ખાનગી એરલાઇન્સમાં જોડાવા લાગ્યા હતા. એમાં પણ શરૂઆતમાં નિયમોને વધુ કડક કરવાની વાત ચાલી, પણ બહુ ઝડપથી ખ્યાલ આવી ગયો કે કેવળ પ્રતિબંધથી એ પ્રશ્ન ઉકેલાવાનો નથી. આથી હવાઈ દળે પોતાની માનવસંસાધન નીતિ, કારકિર્દીના માર્ગો અને પ્રગતિની તકો વિશે ફેરવિચાર કર્યો. મૂળ પ્રશ્ન પાયલટોને રોકવાનો નહીં; તેમને નોકરીમાં રહેવાનું મન થાય એવી વ્યવસ્થા ઊભી કરવાનો હતો.
‘ઇસરો’ સંદર્ભે પણ આ મુદ્દો સમજવો જરૂરી છે. અનુભવી વિજ્ઞાનીઓ નોકરી છોડીને અન્યત્ર જઈ રહ્યા હોય તો જરૂર છે તેની પાછળનું કારણ સમજવાની. સરકારની ખરેખરી ફિકર રાજીનામાંની સંખ્યા નહીં, પરંતુ તેની પાછળ રહેલા કારણની અને તેના થકી મળતા સંદેશની હોવી જોઈએ. લોકોના છોડીને જવાથી કોઈ સંસ્થા નબળી પડતી નથી, પણ લોકોના છોડી જવાના કારણોને સમજવાનો પ્રયત્ન ન થાય ત્યારે તે અવશ્ય નબળી પડે છે.
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
મુશ્કેલી એ છે કે આપણા વહીવટી તંત્રમાં મોટે ભાગે સમસ્યાના સ્વીકારમાં જ વિલંબ થતો હોય છે. શરૂઆતમાં તેને અપવાદ ગણવામાં આવે, પછી તેને વ્યક્તિગત નિર્ણય કહીને હળવાશથી લેવામાં આવે અને જ્યારે પ્રશ્ન ગંભીર સ્વરૂપ ધારણ કરે ત્યારે ઉતાવળમાં નિયમોને કડક કરવાની વાત આવી જાય. આવો પ્રતિક્રિયાત્મક અભિગમ કોઈ પણ ક્ષેત્રમાં લાંબે ગાળે સફળ થતો નથી.
એ જ રીતે ‘ઇસરો’ની સમસ્યાનો ઉકેલ વધુ કડક નિયંત્રણોમાં નહીં, બલ્કે વધુ આકર્ષક માળખું, વિશિષ્ટ કુશળતા ધરાવતા વિજ્ઞાનીઓ માટે ઝડપી પ્રગતિની તક, યોગ્ય પ્રોત્સાહન, સંશોધનની વધુ સ્વતંત્રતા અને ખાનગી ક્ષેત્ર સાથે સુનિયોજિત સહકાર—વગેરે જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારણા કરવાની જરૂર છે. સરકારે અવકાશના ક્ષેત્રમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપ્યું છે, તો તેને પરિણામે ઊભી થનારી પ્રતિભાની સ્પર્ધા માટે પણ તૈયાર થવું જરૂરી છે.
‘ઇસરો’ જેવી સંસ્થામાં કામ કરતો વિજ્ઞાની કેવળ એક પગારદાર કર્મચારી નથી. તેને તૈયાર કરવામાં વર્ષોનો સમય, જાહેર નાણાં અને વરિષ્ઠ વિજ્ઞાનીઓની મહેનતનું રોકાણ થયેલું હોય છે. તેથી તેમના રાજીનામાને માત્ર વ્યક્તિગત નિર્ણય કહીને નજરઅંદાજ કરી શકાય નહીં. સવાલ કેવળ ‘ઇસરો’નો નહીં, દેશની તમામ અગ્રણી જાહેર સંસ્થાઓનો છે. જ્ઞાન અને કુશળતાના વર્તમાન યુગમાં પ્રતિભા પર તાળું મારીને તેને જાળવી શકાતી નથી. તેને જતી રોકવી હોય તો સંસ્થાને એવી બનાવવી પડે કે જવાનું મન ન થાય.
આથી ‘ઇસરો’ના રાજીનામાંને સરકાર ફક્ત શિસ્તના પ્રશ્ન તરીકે જોશે તો થોડા સમય માટે આંકડા નિયંત્રિત થઈ જાય એમ બની શકે. પણ તેને માનવસંસાધન નીતિની ચેતવણી તરીકે લેશે, તો તે માત્ર ‘ઇસરો’ને નહીં, સમગ્ર ભારતીય વૈજ્ઞાનિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકશે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩-૮– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
એક પર્વત કે એક પર્વતમાળાને જોઈને કોણ જાણી શકે, કે કહી શકે, એમની પાછળ કેટલી અનંતતા હશે તે? કેવું છૂપું પાસું જોઈને નીકળી આવી હતી હું, ફરીથી રોજિંદા લોક-જીવનમાં.
આ મિનિ-બસનો રૂટ જુદો હશે, તેથી થોડી વાર પછી એ હાઇ-વે છોડીને અંદરના રસ્તે, નાનાં ગામોમાં થઈને જવા માંડી. ઘણા લોકો જુદી જુદી મિનિ-બસોને માટે ઊભેલા દેખાતા. મારાવાળી બસમાં કેટલાયે ચઢતા ને ઊતરતા. હું ડ્રાયવરની બાજુમાં બેસી ગયેલી, એટલે મને કોઈ નડ્યું નહીં. પનામાના અંદરના ભાગમાંની દિનચર્યા મને જોવા મળતી ગઈ.
શનિવાર હતો એટલે હાઇ-વે પર ટ્રાફીક ઓછો હતો. કૅનાલ પરના બ્રિજ પરથી પસાર થતાં મિનિ-બસને વાર ના લાગી. એ પછી તો થોડી જ મિનિટોમાં આલબ્રૂક બસ ટર્મિનલ આવી ગયું. ત્યાં પણ ઘણા લોકો દેશમાં અનેક જગ્યાએ જતી બસોની રાહ જોતાં ઊભા હતા.
આલબ્રૂક મૉલ નામનું શૉપિન્ગ સેન્ટર આની સાથે જોડાયેલું જ છે. પનામામાં જ નહીં, પણ આખા મધ્ય અમેરિકામાં એ મોટામાં મોટું ગણાય છે. હું છેક ત્યાં જ હતી, તેથી મૉલને જોઈ આવવાની ઇચ્છા હતી. પહેલી નજરે ખ્યાલ નથી આવતો, પણ આ મૉલમાં સાતસો જેટલા તો સ્ટોર છે. સસ્તી-મોંઘી કોઈ પણ ચીજ અહીં મળે, અને ડિઝાઇનર ચીજોની કિંમત પણ અહીં થોડી ઓછી હોય છે.
આમાં એકસોથી વધારે ખાવા-પીવાની જગ્યાઓ બનેલી છે. ઉપરાંત, અહીં સુપરમાર્કેટ, ફાર્મસી, સિનેમા, બૅન્કો, બ્યુટી સલૉન, કૅસિનો, છોકરાંઓને માટે રાઇડ, મિનિ-ટ્રેન વગેરે કેટલીયે સગવડો થયેલી છે. ત્રણસો રૂમની એક મોટી હોટેલ પણ અડીને જ બનેલી છે.
આવી જાણીતી જગ્યાએ એક આંટો મારવાના ઇરાદાથી હું ગયેલી. શનિવારની રજા હતી, એટલે લોકો આવતા જ જતા હતા. મારે કશું લેવું તો હતું નહીં. હૅલને એક આઇસ્ક્રીમ કંપનીનાં વખાણ કરેલાં. એ દુકાન જોઈ એટલે એક નાનો ચૉકૉલૅટ આઇસ્ક્રીમ ખરીદ્યો. ભીડમાં ફરવાનું જરાયે ગમતું નહતું, એટલે અડધો કલાક થતાંમાં તો હું ત્યાંથી ભાગી નીકળી.
મૅટ્રોનું સ્ટેશન પણ બાજુમાં જ, અને દસ મિનિટમાં તો હું હોટેલ પર પહોંચી ગઈ. બે દિવસ માટે સામાન નીચે મૂકાવડાવેલો. તેને રૂમમાં ખસેડ્યો, અને થોડી જ વારમાં હું પાછી બહાર નીકળી ગઈ. નજીકમાં પાણીના કિનારા પર બનેલા મોટા રસ્તા પરથી એક બસ લીધી. એમાં પણ ભીડ, ને સળંગ ઊભાં રહેવું પડ્યું. દૂરથી જોયેલાં તે બહુમાળી ઇમારતો હવે પાસેથી જોવા મળી.
મેં વાંચેલું કે શહેરના કન્વેન્શન સેન્ટરમાં ટ્રાવેલ ઍક્સ્પો ચાલતો હતો. એ જોવા ગઈ, ટિકિટ ખરીદીને અંદર ગઈ, ને પછી નિરાશ થઈ. લોકો તો હતા, પણ ઘણો નાનો હતો ઍક્સ્પો, ને ખાસ રસપ્રદ ના લાગ્યો. સ્થાનિક ઇન્ડિયન પ્રવાસીખાતાનો એક સ્ટૉલ હતો. હું ખુશ થઈને હૅલો કહેવા ગઈ, પણ એક સાધારણ ઇન્ડિયનની સાથે હસીને શા માટે બોલે એમાંનું કોઈ?
વળી પાછી મેં બસ લીધી, અને પાણી પરનો પેલો સુંદર બાગ આવતાં ઊતરી ગઈ. ત્યાં તો કશો પ્રસંગ હોય તેવું લાગ્યું. ચારસોથી યે વધારે વિદ્યાર્થિનીઓ ભેગી થયેલી. દરેક છોકરીએ આછા કે ઘેરા ગુલાબી રંગનાં કપડાં પહેરેલાં. કદાચ આખા દિવસ રમતગમત અને કસરતનો કાર્યક્રમ યોજાયો હતો. હવે પૂરો થવામાં હતો. બધાં ખૂબ આનંદમાં હતાં. જોર જોરથી મ્યુઝીક વાગતું હતું. જોકે એ આઠ વાગ્યે બંધ થઈ ગયું.
એ બધાં ધીરે ધીરે પોતપોતાનાં ઘર તરફ જવા માંડ્યાં. પણ સાંજના સમયે બાગમાં ફરવા આવેલાં ઘણાં હતાં. સુંદર સાંજ હતી. સૂર્યાસ્તનો આછો કેસરી પ્રસર્યો હતો. રસ્તા પર દીવાબત્તી થવા માંડ્યાં, ને ગગનચુંબી દીવાલોની બારીઓમાં પણ લાઇટો ચાલુ થવા લાગી. પાણી પર બાંધેલો ગોળ વળતો જતો કૉઝ-વે પણ ચમકવા લાગ્યો. તે પછી ચંદ્રની કમનીય કટારી પણ પ્રગટ થઈ, ને હું હોટેલ પર પાછી વળી.
ખૂબ વહેલી રાતના કલાકોમાં જોરથી વરસાદ પડેલો, પણ જાગીને જુઓ તો રસ્તા બીલકુલ સૂકા થઈ ગયા હતા. રવિવારના આજના દિવસે મારા મિત્ર-કુટુંબની સાથે મળવાનું નક્કી થયેલું. અગિયાર વાગતાંમાં તો અકબરભાઈ એમની દીકરી અનિસાની સાથે મને લેવા આવી ગયા. અમે કેટલાં વર્ષે મળ્યાં, પણ સ્નેહ અને મૈત્રીમાં કશી ખોટ નહતી પડી.
જે જૂના વિભાગમાં પહેલાં રહેતાં હતાં ત્યાં હવે એ બધાં નથી રહેતાં. શહેરની બીજી તરફ, શાંત અને સારા લત્તામાં એમણે ઘર લઈ લીધું છે. કમ્યુનિટીનાં બીજાં ઘણાં કુટુંબો પણ એમનું જોઈને એ તરફ રહેવા આવી ગયાં છે. મસ્જિદ અને મદરસા નજીકમાં છે. સ્કૂલ પૂરી કરીને બધા છોકરાઓ મદરસામાં જાય છે.
ફાતિમાબેનને આટલાં વર્ષે પણ યાદ હતું, કે હું શાકાહારી છું. એમણે શાકાહારી બિરયાની, છાશ, ઢોકળાં, પાતરાં, સમોસાં, શીરો, બદામ-પીસ્તાંની બરફી વગેરે બનાવેલું. આટલું બધું?, મેં કહ્યું. ખૂબ ખાધું. બધું સ્વાદિષ્ટ પણ ખરું. બપોરની ચ્હા સાથે સુરતી બિસ્કીટ આપ્યાં. એ પણ ઘેર બનાવેલાં. અરે વાહ.
બીજી દીકરી આઝીઝા પણ મળવા આવી. બંને વચ્ચે એમને ત્યાં પાંચ દીકરા છે. હું થોડી ભેટ અને અમેરિકન ચૉકૉલૅટ લઈ ગઈ હતી. એ તો ખાધી, ને સાથે દોડાદોડી અને ઘોંઘાટ પણ ઘણાં રહ્યાં. અકબરભાઈએ મને એક મોંઘું ફ્રેન્ચ પર્ફ્યુમ આપ્યું. મેં બહુ ના પાડી, પણ ના માન્યા.
ફાતિમાબેન કહે, હવે પનામા આવો ત્યારે અહીં જ આવજો. અનિસા કહે, હા, આપણે સાથે દરિયા-કિનારે રહેવા જઈશું. અરે, એ જ તો કરવું છે મારે, ફરી પનામા જાઉં ત્યારે.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.