વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • પનામા – નગર અને નિસર્ગનો દેશ – ૨

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    ગયાના દેશ છોડીને પનામા દેશમાં પહોંચતાં ક્યાં બહુ વાર થઈ? બપોરથી માંડ સાંજ થતાંમાં દેશ બદલાઈ ગયા, ને એમાં મારા અનુભવ જુદા થઈ ગયા. સમયના વર્તાવથી જીવનનો દરેક અનુભવ સ્વપ્ન જેવો બની નથી જતો?

    હોટેલની જગ્યા કન્વિનિયન્ટ હતી, અને બહાર નીકળતાં પહેલાં હોટેલમાં નાસ્તો મળી જાય, એટલે મને નિરાંત લાગે, કારણકે બહાર ક્યાંય કશું શોધવા ના જવું પડે. શાંત બ્રેકફાસ્ટ રૂમમાં બેસીને મેં પૅનકેક અને કૉફી લીધાં. પછી દિવસ દરમ્યાન કશું ખાવું ના પડ્યું.

    મારી હોટેલ ઍવનિદા હુસ્તો આરોસેમૅના નામની ગલીમાં હતી. નકશામાં એનું સ્થાન જોઈ લીધું, એટલે હું ચોક્કસપણે અમુક દિશામાં ચાલવા લાગી. જરાક આગળ જતાં નૅશનલ લૉટરીનું મકાન દેખાયું. એની પાસેનું દૃશ્ય બહુ આશ્ચર્યકારક હતું. ફૂટપાથ પર અનેક જણ લૉટરીની ટિકિટ વેચવા બેસી ગયેલાં હતાં. કોઈક જમીન પર, તો કોઈ ખુરશી ને ટેબલ લઈને બેઠું હતું.

    એવાં પચાસ કે સાઠ જેટલાં, મોટી ઉંમરનાં સ્ત્રી-પુરુષો હશે. લગભગ દરેકને ખરીદનાર પણ મળતાં હતાં. જોકે ધક્કામુક્કી જેવી ભીડ નહતી થયેલી. મેં અનુમાન કર્યું, કે આ ખેલ દરરોજ ખેલાતો હશે, ને આખો દિવસ ચાલતો રહેતો હશે. બીજા દેશોમાં લૉટરી વેચાતી જોઈ છે, પણ આવું દૃશ્ય બીજે ક્યાંય જોયું નથી.

    મેં મકાનની અંદર પણ આંટો માર્યો. ત્યાંના હૉલમાં પણ આ જ રીતે લૉટરી વેચાતી હતી. સવારે નીકળતું હશે તે છાપું પણ મળતું હતું. બીજી નવાઇ એ કે કશો શોરબકોર નહતો. વેચનારાં, ખરીદનારાં – બધાં પોતપોતાના કામમાં મગ્ન. મને નવાઇની સાથે મઝા પણ આવી આ દિનચર્યા જોવાની.

    પછીના રસ્તા પાસે એક નાનો ગાર્ડન આવ્યો. ફૂલો નહીં, પણ થોડાં ઝાડ-છોડ ખરાં. વચમાં એક ફુવારો અને એના પર એક શિલ્પ. ભૂતકાળમાં સ્પૅનિશ કૉલોનિ થઈને રહેલા દેશોમાં આ સ્પૅનિશ અસર દેખાતી રહે છે. ખુલ્લી જગ્યા શહેરમાં નિરાંત, શાંતિ અને સ્થાનિક લોકોને બેસવા-ફરવાની સગવડ આપે છે. પેલી બાજુ પર નૅશનલ આર્કાઇવ મ્યુઝિયમનું ખાસ્સું મોટું મકાન હતું. એ નકશામાં જણાયેલું. હું અંદર ગઈ નહીં. લાગ્યું પણ બંધ હોય તેવું.

    અહીં ડાબી બાજુ વળી એટલે ઍવનિદા સૅન્ત્રાલ આવી ગયો. આમ તો રસ્તા પર નામનાં કોઈ પાટિયાં નથી હોતાં, ને સરખો નકશો પણ નથી આ શહેરનો; પણ થોડું આશરે, અને થોડું આગલી યાદો પરથી અનુસરીને મારે જ્યાં જવું હતું તે તરફ હું જવા લાગી. ઘણાં વર્ષે પનામા સિટીમાં આવી હતી, પણ દિશા હવે મને ખબર હતી. હું શહેરના દક્ષિણ ભાગમાં જઈ રહી હતી.

    ફૂટપાથ પર સસ્તી, નાની ચીજો વેચાતી હતી. ક્યાંક શાક વેચનારાં ઊભાં હતાં. જોઈ-સાચવીને એક પછી એક પગ મૂકવા પડતા હતા. બધે જ ફૂટપાથના પથ્થર ઊંચાનીચા હતા, અને કિનારીઓ તૂટી ગયેલી હતી. આ રસ્તા પર સારી એવી ભીડ હતી.નજીકમાં ક્યાંક મોટું બસ-સ્ટેશન પણ હતું, ને બસોની અતૂટ હાર ચાલતી રહેતી હતી..

    આ રસ્તાની વચમાં છે “સિન્કો દ માયો” કહેવાતો એક જાહેર નગર-ચૉક. એની ફરતે, બધી દિશામાં જતા મોટા રસ્તા છે, અને ટ્રાફીક સતત ચાલુ જ રહે છે. વચમાં એક મોટો પાર્ક છે. લોકો આખો દિવસ ત્યાં ફરતા હોય છે, ઝાડની નીચે મૂકેલી બૅન્ચો પર બેઠા હોય છે. ત્યાં અચાનક ગાંધીજીની પ્રતિમા દેખાઈ. એવી રીતે હતી કે એનો સારો ફોટો કોઈ રીતે લેવાય તેમ નહતો. પણ એને જોઈને સુખ થયું.

    રસ્તાને સામે છેડે છે એ હિસ્સો, કે જેના નાકા પરની હોટેલમાં હું ગયા વખતે રહી હતી. આ હિસ્સો ફરી જોવાનું બહુ મન હતું મને, એટલે સૌથી પહેલાં હું ત્યાં આવી પહોંચી હતી. પણ પહેલી જ નજરે લાગ્યું કે આ ભાગ સાવ બદલાઈ ગયો છે. ને જેમ થોડું ચાલી તેમ ખાતરી થતી ગઈ.

    પેલી હોટેલ ત્યાં જ હતી ખરી, ને એક ડોકિયું કર્યું, પણ હવે એ બહુ સારી રહી હોય તેવું ના લાગ્યું. એની બાજુમાંથી શરૂ થતો, વાહન વગરનો, ફક્ત ચાલનારાં માટેનો રસ્તો હતો તો હજી એમ જ, પણ એના પરની દુકાનો બદલાઈ ગઈ હતી. એક સમયે ત્યાં સરસ કપડાં, ચંપલ-સૅન્ડલ વગેરે મળતું. હવે અહીં બધું સસ્તું ને સાધારણ જ દેખાયું, સારું કશું જ નહીં. બે-ત્રણ દુકાનોમાં અંદર-બહાર કર્યું, પણ લેવા જેવું હવે કશું રહ્યું નથી. પેઢી બદલાઈ એની સાથે પસંદ પણ બદલાઈ છે.

    મને જેમની સાથે પરિચય થયેલો તે કુટુંબો પેઢીઓથી અહીં જ વસેલાં, પણ હવે શહેરના બીજા ભાગમાં રહેતાં થઈ ગયાં છે. તે વખતે, મુસ્લિમ ઇન્ડિયનોની એક કમ્યુનિટી અહીં વસેલી હતી. છોકરાં રોજ સાંજે સરસ સફેદ ચોખ્ખાં કપડાં પહેરીને મદરસામાં જતાં, સ્ત્રીઓ ભેગી મળીને શૉપિન્ગમાં નીકળતી, અને પુરુષો ક્રિકેટની સીઝનમાં, ચૅનલ પરની રજુઆત ખાસ ભાડે કરતા.

    હવે અહીં કેવળ સ્થાનિક તળ-લોકો દેખાય છે. કેટલા બધા લોકો હોય આસપાસમાં, પણ જરા પણ અવાજ નહીં. કોઈ વેચનારો બૂમો ના પાડતો હોય. ઠેર ઠેર વેચાતાં શાક અને ફળ ઘણાં સસ્તાં હોય છે આ પાડોશમાં. લાલ, તેમજ લીલી, દ્રાક્ષ ખૂબ જ મોટી મોટી હતી. એક બાજુ શેરડીનો સંચો હતો. એ પણ સરસ રંગીન ચીતરેલો હતો. દૃશ્ય રંગરંગીન અને જીવંત લાગતું હતું.

    બીજી નાની નાની, સાંકડી, પાછલી ગલીઓમાં ઘણું ચાલી. એ બધે નામની જ ફૂટપાથ હતી, ને ગાડીઓ તો પાછી ચાલ્યા જ કરતી હોય, તેથી ત્યાં ચાલવાની મઝા નહતી. જોકે મારે તો હજીયે આગળ જવું હતું – છેક દક્ષિણે, શહેરના છેક જૂના હિસ્સામાં, તેથી ચાલ્યા કર્યું.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • ભગવાન કૃષ્ણ જેવી નિયતિ આપણા સૌની

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    દર ઊનાળે તાપમાન અવનવા વિક્રમ બનાવે છે. દાવાનળની ઘટનાઓનું પ્રમાણ ઊત્તરોત્તર વધી રહ્યું છે. સમુદ્રજળનું સ્તર વધી રહ્યું છે. આત્યંતિક હવામાનના પરચા વારંવાર જોવા મળે છે, જેની વિપરીત અસર ખેતી પર તેમજ સૌની દિનચર્યા પર થાય છે. આમ, જળવાયુ સંબંધિત જોખમ સતત વધતાં રહ્યાં છે છતાં, તેને લગતા સમાચારનું પ્રમાણ ઘટતું રહ્યું હોવાના અહેવાલ છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલોરાડોની ‘મીડિયા એન્‍ડ ક્લાઈમેટ ચેન્‍જ ઓબ્ઝર્વેટરી’ વિશ્વભરના સમાચારસ્રોતોમાં જળવાયુ સંબંધિત સમાચારોના પ્રસાર પર નજર રાખે છે. આ સંસ્થાના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૫માં સતત ચોથા વર્ષે જળવાયુ સંબંધિત સમાચારોમાં ઘટાડો જોવા મળ્યો. નવાઈ લાગે એવી બાબત એ છે કે ૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫ના વર્ષમાં ૧૪ ટકા અને ૨૦૨૧ના વર્ષ કરતાં ૩૮ ટકા ઘટાડો જણાયો.

    અને આ ઘટાડો કોઈ એક પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. આફ્રિકા, મધ્ય પૂર્વના દેશો, યુરોપ તેમજ ઊત્તર અમેરિકા એમ બધે જ આ સમાચારોનું પ્રમાણ ઘટી રહ્યું છે. આમ થવાનું કારણ? આ અહેવાલના મુખ્ય લેખક મેક્સ બોયકોફના જણાવ્યા અનુસાર આર્થિક દબાણ, પ્રસાર માધ્યમોનું એકીકરણ વગેરે જેવી દેખીતી બાબતો આના માટે જવાબદાર ખરી. સાથોસાથ એ હકીકત છે કે જળવાયુ પરિવર્તન હવે કેવળ વિજ્ઞાન પૂરતો મર્યાદિત મુદ્દો રહ્યો નથી. હવે તે રાજનીતિ, સમાજ અને અર્થવ્યવસ્થા સાથે ગાઢ રીતે સંકળાયેલો મહત્ત્વનો અને સંવેદનશીલ વિષય બની ચૂક્યો છે. આમ હોવા છતાં, તેના ને રાજનીતિ અને અન્ય મુદ્દાઓ હાવી થઈ રહ્યા છે. પ્રસાર માધ્યમોનાં સંસાધનોનો અભાવ અને કાપ વગેરે પણ આમાં ભાગ ભજવે છે. બીજું એક મહત્ત્વનું કારણ એ છે કે વાચકોને આ જ સમાચાર વારેવારે વાંચવાનો ‘થાક’ અનુભવાય છે એટલે તેમની રુચિ ઘટી રહી છે. આ વિષયના સતત થઈ રહેલા રાજકીયકરણને કારણે પણ પત્રકારો તેના વિશે લખતાં ખચકાય છે.

    આ વિષય અત્યાર સુધી વિશેષજ્ઞો પૂરતો મર્યાદિત હતો. પણ લોકો કંઈ આવા અભ્યાસનાં સંશોધનપત્રો વાંચે નહીં. તેઓ અખબાર, ટી.વી. અને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો થકી પોતાની સમજણનું ઘડતર કરે છે. આથી આવાં પ્રસાર માધ્યમો જળવાયુની કટોકટી વિશે પૂરતી વાત ન કરે, તેનાં વિવિધ પાસાંની ચર્ચા ન કરે તો એ હકીકત સમજવી મુશ્કેલ બની રહે છે કે હવે આ સંકટ કોઈ દૂરના દેશમાં કે ભવિષ્યમાં નહીં, પણ આપણા રોજબરોજના જીવન પર, આજીવિકા પર અને ભાવિ પર કેટલી ઘેરી અસર કરી રહ્યું છે.

    કેવી વક્રતા છે કે એક તરફ આવા સમાચારોનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે, તો બીજી તરફ આ સંકટ વધુ ઘેરું અને વાસ્તવિકતા વધુ ભયાનક થઈ રહી છે. છેલ્લાં ચાર વર્ષોમાં અશ્મિજન્ય ઈંધણથી થતા  ઉત્સર્જનનું પ્રમાણ સતત નવો વિક્રમ સર્જી રહ્યું છે. વીત્યાં ત્રણ વર્ષો ઈતિહાસનાં સૌથી ગરમ વર્ષો હતાં. ઔદ્યોગિક યુગની તુલનાએ તાપમાન દોઢ અંશ સેલ્સિયસ વધી ચૂક્યું છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ આ તાપમાન દોઢ અંશ સેલ્સિયસથી વધે તો આપણી પૃથ્વી ખતરનાક ‘ટીપીંગ પોઈન્‍ટ્સ’ તરફ આગળ વધી શકે છે. ‘ટીપીંગ પોઈન્‍ટ્સ’ એટલે એવી પરિસ્થિતિ કે જેમાં નાનામાં નાનો ફેરફાર સુધ્ધાં મોટી દુર્ઘટનાને નોંતરી શકે. આથી હવે જરૂર છે પરંપરાગત ઊપાયોને બદલે લોકો સુધી પહોંચવાના નવા ઊપાયો શોધવાની. કેવળ સંશોધનપત્રો અને ટેક્નિકલ પરિભાષા પૂરતાં નહીં થઈ રહે. વાર્તાઓ, વિડીયો, નાટક, વિડીયો, કાર્ટૂન, કળા, હાસ્ય એવાં લોકભોગ્ય માધ્યમો દ્વારા લોકો સાથે સંવાદ સાધવો પડશે, જેથી લોકો આ સંકટની તીવ્રતા અને ગંભીરતા સમજી શકે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    સામાન્ય લોકોના જીવનમાં અમસ્તાય ટકી રહેવાના સંઘર્ષ એટલા હોય છે કે આવી બધી બાબત પોતાને પણ લાગુ પડે એનો તેમને અણસાર સુધ્ધાં હોતો નથી. તો સંપન્ન લોકો માટે આ મુદ્દો પ્રાથમિકતામાં આવતો નથી. કોઈ પણ વ્યક્તિ દ્વારા કરાતી ગમે એવી સામાજિક કે જાહેર ઉજવણી પર્યાવરણ પર વિપરીત અસર કરે છે, જેની સીધી અસર જળવાયુ પરિવર્તન પર થતી હોય છે. તહેવારો દરમિયાન ફેલાતા પ્રદૂષણની માત્રા ઓછી હોય એમ ચૂંટણીટાણું આવે એટલે પ્રચારનાં વિવિધ નુસખા થકી અઢળક પ્રદૂષણ ફેલાતું હોય છે. એકે રાજકીય નેતા કે પક્ષની પ્રાથમિકતામાં આ બાબત આવતી નથી.

    હજી વિવિધ માધ્યમોમાં રાજકારણ, મનોરંજન, સામાજિક ગપસપ વગેરે વધુ પ્રમાણમાં જગ્યા રોકે છે. એમાં પણ રાજકારણ અને મનોરંજન ક્ષેત્રના સમાચારો મોટે ભાગે સુઆયોજિત પ્રચારના ભાગ તરીકે ફેલાવાતા હોય છે. વિવિધ પક્ષોના સુશાસનના મુદ્દામાં ક્યાંય પર્યાવરણની સમસ્યાઓનો ઊલ્લેખ જોવા મળતો નથી. જોવા મળે તો પણ કેવળ નામ પૂરતો. ક્યારેક કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે તેના અહેવાલ ચમકે, અને એ પણ મોટે ભાગે તેનાથી થયેલા જાનમાલના નુકસાનના. તેના અસલ કારણ વિશેની વાત ભાગ્યે જ થતી જોવા મળે છે. જાનમાલના નુકસાનના સમાચાર પણ રાજકારણપ્રેરિત હોય છે. જળવાયુ સંકટ એવી ગંભીર પરિસ્થિતિ છે કે એ જેમ નાનામોટા દરેકને અસર કરે છે, એમ નાનોમોટો દરેક માણસ એના માટે કારણભૂત અને જવાબદાર પણ હોય છે. ભયાનક દેખાતી ભાવિની આ શક્યતા હવે ભયાનક વર્તમાન બની ગઈ છે અને આપણા ઘરનો દરવાજો ખટખટાવી રહી છે. છતાં તેના વિશે ભાગ્યે જ વાત થાય એ કેવી વક્રતા! ભગવાન કૃષ્ણે જેમ પોતાના વંશનો વિનાશ લાચાર બનીને નિહાળ્યો એવી જ સ્થિતિ આપણા સૌની થાય એ કંઈ કલ્પના કે અતિશયોક્તિયુક્ત આગાહી નથી. એ ચાલુ વર્તમાનકાળ છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૧૪-૫– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • બૂકે…

    જીવનની ખાટી મીઠી

    નીલમ  હરીશ દોશી

    સવાર પડેને દલપત આખો ફૂલોથી મઘમઘી રહે. ગુલાબ, મોગરા કે કેસરી,પીળા ગલગોટાની સુગન્ધ શ્વાસમાં ભરતો જાય અને હાર ગૂંથતો જાય. ફૂલો વચ્ચે લીલાછમ્મ નાજુક પર્ણોની ગૂંથણી એવી તો સરસ કરે કે ફૂલોની શોભામાં ચાર ચાન્દ લાગી જાય. તો બાજુમાં તેની પત્ની સુન્દર મજાના બૂકેની સજાવટ કરવામાં વ્યસ્ત હોય. આસપાસનું વાતાવરણ પણ સુરભિત સુરભિત..

    ચાર વરસની દીકરી વહેલી સવારે સૂતી હોય ત્યાં હારનો ટોપલો તૈયાર થઇ જાય એટલે ઉપર થોડાં છૂટા ફૂલો પણ મૂકી દે અને  પત્ની સામે મીઠું હાસ્ય વેરી ગણપત ટોપલો લઇને ઉપડે ત્યારે પંખીઓ કિલકિલાટ કરી સવારના સૂર્યને વધાવવવાની તૈયારી કરતાં હોય.

    દલપતના ચહેરા પર સદા હાસ્ય રમતું હોય. હમેશ પ્રસન્નચિત્ત..કયારેય કોઇ ફરિયાદ નહીં..અભાવનો કોઇ અજંપો નહીં. કયારેય ભૂખ્યા નહોતું સૂવુ પડતું. પત્ની પણ એવી જ હસમુખી મળી હતી.દીકરીને મ્યુનીસીપલ સ્કૂલમાં ભણાવી શકાતી હતી. એક ઓરડી હતી. માથા ઉપર છત. અંગ ઢાંકવા બે જોડી કપડાં, અને પેટનો ખાડો પૂરાતો હતો.એથી વિશેષ શું જોઇએ ?

    દલપતના મોટા ભાગના ઘરાકો બાન્ધેલા હતા. ગ્રાહકો સાથે હસીને વાત કરતો જાય અને જાણે સૌને ફૂલોની લહાણી કરતો હોય તેમ બધાને મહેકાવતો જાય. આજે તો ગણપતનો  ટોપલો રોજ કરતાં પણ વહેલો ખાલી થઇ ગયો. હવે છેલ્લો એક બુકે બાકી હતો. ત્યાં જ એકી સાથે બે ઘરાક આવ્યા. એક પચાસની આસપાસના કાકા હતા. અને એક બાર તેર વરસની મીઠડી છોકરી હતી. બૂકે એક જ બચ્યો હતો. કોને આપવો ? અજુબાજુમાં બીજા કોઇ ફૂલવાળા નહોતા એટલે એકને તો નિરાશ કરવા જ પડે તેમ હતા.

    ત્યાં કાકાએ કહ્યું,’ લાવ ભાઇ, જલદી કર..કોઇની નનામી પર મૂકવા જોઇએ છે. પછી થોડી ચીડથી ઉમેર્યું, ’આ મોટા માણસોને મર્યા પછી પણ ફૂલનું નજરાણુ ધરવું પડે. ‘

    ત્યાં પેલી છોકરી બોલી ઉઠી,’ અંકલ, આજે મારા પપ્પાનો બર્થડે છે. મારે એને સરપ્રાઇઝ આપવું છે. પ્લીઝ..મને બૂકે આપોને..!  મેં મારા પોતાના પૈસા ભેગા કરી રાખ્યા છે.’

    દલપત એકાદ ક્ષણ બંને સામે જોઇ રહ્યો. પછી ધીમેથી બૂકે તેણે છોકરીના હાથમાં મૂકયો. છોકરીનો ચહેરો ગુલાબની માફક ખીલી ઉઠયો. ને સાથે દલપત પણ…

    પોતાના જન્મદિવસની તો કયાં ખબર હતી ? છતાં કયારેક પોતાની પુત્રી પણ પોતાને આમ કયારેક ફૂલો આપશે..અને પોતે કેવો મઘમઘી રહેશે..!


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • સ્મૃતિસંપદા : ડૉ.ઈન્દુ રમેશ શાહ ની વિટંબણા અને પરિતૃપ્તિ [૩]

    ગતાંકમાં અમેરિકા આવ્યા પછી સ્થિર થવાના સમય વિશેની ડૉ. ઈન્દુબેન શાહની વિટંબણાઓ અને પરિતૃપ્તિની સફર બાબતે જાણ્યું.
    હવે આગળ….

    હવે મારી વાત, મારા બે વર્ષ મેથોડિસ્ટ હોસ્પિટલમાં પુરા થયા ૧૯૯૨માં હ્યુસ્ટનની બેલર કોલેજમાં
    ગાયનેક એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં જ્ગ્યા ખાલી થયાની ખબર મળતા મારા પતિએ મને હ્યુસ્ટન આવવા જણાવ્યું પાછી દ્વિધા મારી બન્ને દીકરી ન્યુયોર્કમાં અભ્યાસ કરતી હતી બન્નેને મુકીને મારે મારી કેરિયર માટે પાછું હ્યુસ્ટન આવવાનું.બન્ને દીકરીને ગાડી આપી,એપાર્ટમેંટ લઈ આપ્યું જોઇતો સામાન આપ્યો. હું હ્યુસ્ટન આવી.

    મારા પતિ કોલ પર હતા. હું મારો નાનોભાઈ જે હ્યુસ્ટનમાં ૪ વર્ષથી સી એ ની પ્રેકટિસ કરતો હતો તેને ત્યાં હતી, ત્યાંથી મારો ભાઈ તેની ગાડીમાં મને Baylor collage ઈન્ટરવ્યુ માટે લઈ ગયો મારી ભાભીએ જતા પહેલા મને દહી ગોળ ખાવાના શુકન કરાવ્યા,પાર્કિંગ કરવાનું મુશ્કેલ મારો ભાઈ મને ઉતારી પોતાના કામ પર ગયો.

    હું ડો. સુરેશની ઓફિસની બહાર બાંકડા પર બેઠી, બે ત્રણ બીજા ઉમેદવાર પણ બેઠેલ મનમાં બીક આ બધા અમેરિકન હું ભારતની ઉંમરમાં મોટી મારા ચાન્સ અલ્પ જણાતા હતા, હશે પ્રભુ ઇચ્છા જે થશે તે માન્ય, આમ વિચારમાં આંખો બંધ કરી બેઠેલ અને મારું નામ સંભળાયું ઉભી થઈ ઓફિસમાં દાખલ થઇ ગુડમોર્નિંગ મેડમ બોલી ડો સુરેશ સામે જોયું એકદમ સાદા સરળ સૌમ્ય ડો સુરેશે ગુડ મોર્નિંગ બોલી સામેની ખુરશી પર બેસવા જણાવ્યું મે મારી C V તેમજ મેથોડિસ્ટ હોસ્પિટલના ડો ટેંપેસ્ટા તથા ડો જ્યોર્જના (Recommendation)પ્રમાણ પત્રો બતાવ્યા ડો સુરેશે મારી C V જોઇ મુંબઈ યુનિવર્સિટીના બે ડિપલોમા જોયા D G O, D A.મને ભારતમાં કરેલ મારા વ્યવસાય વિશે થોડા પ્રશ્નો પૂછ્યા. શા માટે એમ. ડી. નહી કર્યું?

    મે જણાવ્યું મારા પતિ એમ. એસ  જનરલ સર્જન હતા અમારે તેમના ગામ સુરેન્દ્રનગરમાં તબીબી વ્યવસાય શરુ કરવાનો હતો ત્યાં કોઈ એનેસ્થેસ્યોલોજીસ્ટ નહોતા તેથી મેં એમ.ડી ગાયનેકમાં કરવાનો વિચાર છોડી દીધો અને King Edward હોસ્પિટલમાં એનેસ્થેસ્યામાં બે વર્ષ રેસિડન્સી કરી અને બન્ને ડિપ્લોમા લીધા જેથી હું મારા પતિના દર્દીને સુરેન્દ્રનગરમાં એનેસ્થેસિયા આપી શકું તથા મારા દર્દીને પણ સ્પાઈનલ આપી C Section કરી શકું.

    ડો સુરેશ કર્નાટકના નાના ગામના હતા મારી વાત સમજી શક્યા.

    મને ત્રીજા વર્ષમાં રેસિડન્સી મળી ગઈ. રેસિડન્સ કવાર્ટસ મળી શકે તેમ નહતું તેથી Baylor કોલેજની નજીકના એપાર્ટમેન્ટ કોમ્લેક્ષમાં એક બેડરુમનું એપાર્ટમેન્ટ ભાડે લીધુ. થોડો સામાન મારા પતિ લાવેલ અને થોડો સામાન હું લાવેલ તથા મારા ભાઈએ ફોમના બે ગાદલા આપેલ તેનાથી અમારો સંસાર શરુ થયો શનિ- રવિ સમય મળતા અમે બન્ને થોડું જરુરિયાત પુરતું ફર્નિચર લેવા જઈએ, એક સોફા કમ બેડ લીધો એક ચાર ખુરશી સાથેનું ડાઇનિંગ ટેબલ લીધું.
    હ્યુસ્ટનમાં જૈન સેંટર હતું ત્યાં રવિવારે તથા પર્યુષણ પર્વ વખતે અમે દર્શન કરવા જતા ત્યાં સુરેન્દ્રનગરના જૈન સાથે ઓળખાણ થતા મિત્રતા થઈ. ખાસ રજનીભાઈ અને વીરાબહેન શાહ, રજનીભાઇ સુરેન્દ્રનગરના અને વીરાબહેન મુંબઈના એટલે અમને વાતો કરવાના વિષય મળી રહેતા. ત્યારબાદ બીજા સુરેન્દ્રનગરના જૈન પરિવાર સાથે ઓળખાણ થઈ અને અમે રજનીભાઈને ત્યાં નિર્ણય લીધો સુરેન્દ્રનગર મિત્રમંડળની સ્થાપના કરી, છ પરિવાર બધા સુરેન્દ્રનગરના દર મહિને એક પરિવારને ત્યાં બધા ભેગા થાય રાત્રી ભોજન કરે સાથે નાનો લલિતકળા કાર્યક્ર્મ પણ હોઇ, કોઈ વખત રમુજી જોક્સ, કોઈ વખત સંગીત, નૃત્ય,નાનું બાળકો દ્વારા નાટક, પર્યુષણ પર્વ હોય ત્યારે જૈન સ્તવનનો કાર્યક્ર્મ, આમ મોટા નાના સહુને તેમના મનપસંદ પ્રોગ્રામનો આનંદ મળે. આ રીતે અમારા અમેરિકાના જીવનની શરુઆત થઈ, મારી દીકરી પારૂલને ડલાસ રેસિડન્સી મળી ગયેલ તેથી શનિ રવિ ડ્રાઇવ કરી જયારે કોલ પર ના હોય ત્યારે સુરેન્દ્રનગર મિત્રમંડળના કાર્યક્રમમાં ભાગ લેવા આવતી, પરિવારના આનંદ સાથે તેણીને ધર્મના સંસ્કાર મળતા.

    હ્યુસ્ટનમાં ૩૦ વર્ષથી સ્થાયી થયા. આ ૩૦ વર્ષમાં અમને બન્નેને ઘણા સારા માઠા અનુભવો થયા.
    મહાવીર જયંતિનાં કાર્યક્રમમા અમે જૈન મંદિરમાં હતા. ઘેર આવ્યાને ફોન પર સુરેંદ્રનગરથી ડોકટરનો મેસેજ સાંભળ્યો; મારા સાસુનું અચાનક અવસાન થયેલ છે. મારા પતિએ તાત્કાલિક ટ્રાવેલ એજંટ મારફત ટિકિટ બુક કરાવી. બેયલર કોલેજમાંથી ફક્ત એક અઠવાડીયાની રજા મળી, અને મારા પતિ ભારત ગયા. મને અહીંના કાયદા અનુસાર ત્રણ દિવસની રજા માન્ય થઈ. આ ત્રણ દિવસ મને ૩૦ દિવસ જેવા લાગ્યા. મારા ભાભી મને બીજે દિવસે જમવાનું ટિફીન લઈને મળવા આવ્યા; સારું લાગ્યું. મારી બન્ને દીકરી રોજ બે વખત ફોન કરતી; શીતલ ન્યુયોર્કથી અને પારૂલ ડલાસથી.

    મારા સસરાને અમેરિકા લઈ આવવા માટે વીસાની તજવીજ કરવામા રમેશનું રોકાણ વધારે થયું.

    મે બેયલર કોલેજના મારા પતિ સાથે કામ કરી રહેલ સાઉથઇન્ડીયન ફેલોને વિનંતી કરી કે મારા પતિના કોલની જવાબદારી લે. ફેલો-જુનિયર ફેકલ્ટી તેઓ એકબીજાની જવાબદારી સ્વીકારે તો પ્રોગ્રામ ડિરેક્ટરને કોઈ વાંધો ના હોય.

    રમેશ આવ્યા પછીના બીજા જ દિવસે હોસ્પિટલ ગયા તેમની ઓફિસમાં લેટર(dated March, 1994)  પડેલ વાંચ્યો:

    “Dear Dr. Shah,

    Your 2 years of fellowship/junior faculty position will be compeleted as of June 30th 1994. Your position is eliminated. Your certificate of completion would be ready. You are free to start your private practice anywhere. Good luck in your future endeavours.”

    Subsequently, મારા પતિને જાણવા મળ્યું; ફેલોએ રમેશના કોલના દિવસે ફેમિલી- ઇમરજન્સીનું કારણ આપી રમેશનો કોલ ન કરવો પડે તે માટે રજા લીધી; વરિષ્ઠ ફેકલ્ટીને કોલ એટૅન્ડ કરવો પડેલ. અમને શીખવા મળ્યું; કદી દેશી(!) પર વિશ્વાસ નહીં કરવાનો. આ સમાચાર જાણી બાપૂજીને દુઃખ થયું; “મારે કારણે તમારી નોકરી ગઈ!” અમે બન્નેએ બાપૂજીને ધીરજ આપી કે અમેરિકામાં કોઇ ડૉક્ટર કામ વગરના ના રહે, એક નહીં તો બીજી હોસ્પિટલમાં નોકરી મળી જાય અને નોર્થ હ્યુસ્ટન-હોસ્પિટલ એક અઠવાડીયામાં મળી પણ ગઈ!

    મારા પૂ. સસરાને સિટિઝન થવા માટે મારા પતિએ અરજી કરેલ. એકના એક દીકરાના ૭૫ વર્ષના પિતાની સિટીઝનશીપની અરજી મંજુર થઈ; અંગ્રેજી અને ગણિતના શિક્ષક બાપુજીની મૌખિક પરીક્ષા લેવાઇ. પરીક્ષા પાસ કરી સિટીઝન થઇ ગયા. ૬ માસ દરમ્યાન દિવસે એકલા ઘરમાં રહીને, સ્વાભાવિક કંટાળો આવે જ. દિવસે થોડો વખત ટીવી અને રામાયણ-મહાભારત ના વિડીયો જોઈને સમય પસાર કરતા.  શનિ-રવિ હું અથવા રમેશ, કોલ પર ના હોય ત્યારે જૈન સેન્ટરમાં અથવા હ્યુસ્ટન-સિનિયર સિટીઝન એસોસિયેશનની મિટીંગમાં લઈ જતા. બાકી બાપુજીને દેશમાં પાછા જવાની ઇચ્છા તીવ્ર હતી. અમે બાપુજીની મુંઝવણ સમજતા હતા. રોજ સાંજે જમતી વખતે બાપુજી પૂછે, “ભાઈ, મારી ટિકીટ બુક કરાવી? હું સિટીઝન થયો છું, જરુરથી પાછો આવીશ, તમારા બે માંથી એક જણે મને લેવા આવવાનું.”

    હવે તો તેમને રોકવાનું કોઈ કારણ અમારી પાસે રહ્યું નહી. રમેશનો નવો જોબ અને મારી O B Recidancyની ટ્રેનીંગના કારણે, અમારા બેમાંથી કોઈ બાપુજી સાથે જઈ શકે તેમ ન હોવાથી એર ઇન્ડિયાની ટિકિટ લીધી જેથી તેમને ખાવાની તથા એર હોસ્ટૅસ સાથે વાત કરવાની સરળતા રહે.. મારા મોટાભાઈ તેઓને મુંબઈ-એરપોર્ટ લેવા ગયા. મારા ભાભીએ વેવાઈ માટે દાળ ભાત શાક કઠોળ ગરમ રોટલી મીઠાઇની થાળી પીરસી. બાપુજી ભાભીના વખાણ કરતા બોલ્યા: “પ્રમિલાબહેન, આજે છ મહિના પછી હું ગરમ ગરમ રોટલી સાથે જમું છું. અમેરિકામાં તો ફિયાસ્ટાની તૈયાર રોટલી ગરમ કરી ખાવાની!” ભાભીએ આગ્રહ કરી જમાડ્યા.

    આ વાતની ખબર મને એક વર્ષ બાદ હું જ્યારે બાપુજીને પાછા અમેરિકા લેવા આવી ત્યારે પડી.
    ભાભીએ મને પૂછ્યું; “ઇન્દુબહેન, તમે તમારા સસરાને ફિયાસ્ટાની રોટલી ખવડાવતા’તા?”
    “હા ભાભી, હું કોલ પર હોઉ, ૩૬ કલાકે ઘેર આવુ, દાળ ભાત શાક આગલા દિવસે કરીને
    ફ્રિજમાં રાખું, રોટલી કરવાનો સમય ના હોય અને અમે જે ખાતા તે જ બાપુજીને ખવડાવતા.”

    ઔપચારિક વાતચીત કર્યા પછી હું સુરેંદ્રનગર આવી.

    ભાભીની મહેમાનગતી માણી બાપુજી અમારા ગામ સુરેંદ્રનગર પહોંચ્યા.

    હવે એકલા ઘરમાં રહેવાનું!!

    બે-ત્રણ દિવસ પાડોશીએ જમાડ્યા. એ જમાનામાં સુરેન્દ્રનગરના જૈન સમાજમાં વડીલનું માન સન્માન જળવાતું.

    બાપુજીને સમાચાર મળ્યા; જોરાવરનગરના એક જૈન કુટુંબને મોટા ભાઈએ ઘરમાંથી કાઢી મુક્યા છે. બાપુજીએ તેમને ઘરે લાવીને આશરો આપ્યો. અમારા ફળિયામાં એક ઓરડીમાં સુધારો વધારો કરાવડાવીને, તેમના આખા કુટુંબને રહેવાની સગવડતા કરી આપી; કોઈ ઘર-ભાડુ નહીં લેવાનું, બાપુજીને રસોઈ કરી આપવાની અને ઘરનું કામકાજ કરવાનું. બાપુજીને કુટુંબ સાથે લેણદેણ. કાનજીભાઈ, તેમના પત્ની રસિલાબહેન અને બે દીકરાઓએ બાપુજી જીવ્યા ત્યાં સુધી બાપુજીની સેવા કરી.


    ક્રમશઃ

  • વિદ્યાર્થીઓ માટે : ગીતાનાં શાશ્વત સૂત્રો – પ્રસ્તાવના

    પ્રકાશકઃ જોય એન્ટરપ્રાઇઝ, જી૫,શક્તિ સ્ક્વેર, મૅનેજમૅન્ટ એન્ક્લેવ સામે,  નેહરૂ પાર્ક  રોડ, અમદાવાદ  ૩૮૦૦૧૫
     ISBN: 978-93-48694-79-9                    કિંમતઃ રૂ. ૨૫૦/-

    શ્રી હરેશ ધોળકિયાનાં પુસ્તક “ગીતાના શાશ્વત સૂત્રો’ મૂળે તો વિદ્યાર્થી વર્ગને ઉદ્દેશીને લખાયેલ છે. પરંતુ ભગવદ્‍ ગીતા દરેક વ્યક્તિ માટે પોતપોતાના સંદર્ભમાં નવો વિચાર, નવી દિશા પ્રદાન કરતું  રહેલ વાંચન છે.

    વેબ ગુર્જરી પર આ પુસ્તક હપ્તાવાર પ્રકાશિત કરવાની સહમતિ આપવા બદલ વેબ ગુર્જરી શ્રી હરેશ ધોળકિયાનો હાર્દિક આભાર માને છે.

    હવેથી દર મહિના ત્રીજા મંગળવારે “ગીતાના શાશ્વત સૂત્રો’માંથી એક એક સૂત્રની સમજ પ્રકાશિત કરીશું.

    સંપાદક મંડળ, વેબ ગુર્જરી


    હરેશ ધોળકિયા

    સરકારે નવી શિક્ષણ નીતિમાં જે વિવિધ મુદાઓ મુક્યા છે, તેમાં એક મુદ્દો વિદ્યાર્થીઓને ભગવદ ગીતાનો પરિચય આપવાનો છે. ભગવદ ગીતા એ ધર્મ ગ્રંથ જ નથી, પણ જીવન ગ્રંથ પણ છે. જીવન સંગ્રામમાં નિરાશ થઇ જવાય કે આસક્ત થઇ જવાય ત્યારે શું વિચારવું અને કેમ જીવવું અને તે માટે કયા કર્મો કઈ રીતે કરવા તેનું સંપૂર્ણ માર્ગદર્શન ગીતા આપે છે. ગીતા ભલે પાંચ હજાર વર્ષ જુનો ગ્રંથ હોય, પણ તેમાં ચર્ચેલા મુદ્દા માનવીના મનને લગતા હોવાથી સનાતન છે. એટલે દરેક યુગમાં ગીતાએ તત્કાલીન વિચારકોને અને સામાન્ય માનવીને પણ માર્ગદર્શન આપ્યું  છે. આ સંદર્ભમાં વિદ્યાર્થીઓને પણ તે ઉપયોગી થઇ શકે તેવી સંભાવનાથી કદાચ આ મુદ્દો દાખલ કર્યો હશે.

    ગીતા શિક્ષણમાં હોવી જોઈએ કે નહિ તે મુદ્દો ચર્ચાનો છે, પણ જયારે તેને અભ્યાસક્રમમાં ઉમેરી જ છે, ત્યારે વિદ્યાર્થીઓ સામે ગીતાને કઈ રીતે રજુ કરવી જોઈએ તે સવાલ થાય છે. ગીતા તો તત્વજ્ઞાનનો  ગ્રંથ છે. સામાન્ય સંદર્ભમાં સમજાય તેવો ગ્રંથ નથી. હા, તેને માત્ર મોઢે કરવી હોય તો બરાબર છે, પણ તેનું અર્થઘટન વિદ્યાર્થીને સમજાય તેવી રીતે કરવું હોય તો તેને      બાળ કે કિશોર કે તરુણ માનસના સંદર્ભમાં જોવી જોઈએ. આવા વિચાર આ જાહેરાત આવેલ ત્યારે આવેલા. પણ હું તો નિવૃત થઇ ગયો હતો. મારે શિક્ષણ સાથે સીધો સંબંધ હતો નહિ. એટલે મારી કોઈ જવાબદારી ન હતી કે મારે આ બાબતે કોઈ વિચાર કરવો. પણ તકલીફ એ હતી કે, નિવૃતિના ૩૩ વર્ષ પછી પણ, શિક્ષકના જંતુ હજી શરીરમાં જીવંત હતા. તે મગજને શિક્ષણ બાબતમાં સક્રિય રાખતા હતા. એટલે, ન ઇચ્છવા છતાં, આ વિચાર તો આવતા જ હતા.

    તે પળે, મારા  એક પ્રકાશક અને “જયકો”ના ગુજરાતના સંચાલક શ્રી કેતનભાઈ કોઠારીનો મને ફોન આવ્યો અને કહ્યું કે તે વિદ્યાર્થીઓ માટે તેમને સમજાય તે ભાષામાં ગીતા તૈયાર કરવા માગે છે. હું તે કરી શકું- આ તેમનો સવાલ હતો. મનમાં વિચાર તો ચાલતો જ હ્તો અને તેમાં આ સુચન આવ્યું. હું તો કૂદી પડ્યો અને વિચાર્યા વિના જ હા પાડી દીધી. થોડા વખત પછી મારે અમદાવાદ જવાનું થયું અને ત્યાં આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં જવાનું થયું. ત્યાં અકસ્માતે જયકોના જ વિભાગની મુલાકાત લેવાની થઇ. તપાસ કરતા કેતનભાઈ ત્યાં હાજર હતા. તેમના સાથે રૂબરૂ વાત થઇ અને તેમણે એકાદ બે પુસ્તકો આપ્યા. વાત પાકી થઇ. પછી પણ તેમણે એક હિન્દી પુસ્તક મોકલાવ્યું. તે જોઈ કેમ લખવું તે સંકલ્પના પાકી થઇ અને તરત કામ શરુ કર્યું.

    વિચારવું સરળ હતું, પણ લખવું કઠિન હતું. આઠથી અઢાર  વર્ષના વયના વર્તમાન “જનરેશન ઝેડ”ના વિદ્યાર્થીઓ કેમ વિચારે અને તેમને ગીતા વાંચવી ગમે કે કેમ અને ગમે તો તેમને કેમ  સમજાવાય તે મુખ્ય મુદ્દો હતો. તત્વજ્ઞાન પણ રહેવું જોઈએ અને તે તેમની ભાષામાં  રજુ થવું જોઈએ. તેમને ઝડપથી સમજાય  માટે તે સંદર્ભના દૃષ્ટાંતો હોવા જોઈએ જે મુદાને વધારે સ્પષ્ટ બનાવે. આ બધાને ધ્યાનમાં રાખીને લખવાનું હતું. પ્રથમ સમગ્ર ગીતામાંથી ૭૦ જેટલા સૂત્રો પસંદ કર્યા. તેમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમાં મુદાને અનુકુળ દૃષ્ટાંતો  ઉમેર્યા. સમગ્ર મુદાને મહતમ હળવી ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો. છતાં ગીતા તો ગીતા છે. કેટલાક સૂત્રો આધ્યાત્મિક છે. તેનો સંદર્ભ પણ આધ્યાત્મિક  છે. તેમાં “ભગવાન” શબ્દ પણ દાખલ થાય છે. તેમાં શરણાગતિ જેવા શબ્દો આવે છે. આ બધાને કેમ સમજાવવા ? પણ પ્રયાસ કર્યો અને  તેને હળવાશથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ રીતે આ પુસ્તક તૈયાર થયું છે. ગીતાની પૂર્વભૂમિકા રૂપે એક પ્રકરણ પણ આપેલ છે.

    ખ્યાલ નથી કે પુસ્તક, એટલે કે ગીતાને, ન્યાય મળ્યો  છે કે નહિ ! પણ પ્રયાસ કર્યો છે. અને બહુ પ્રેમપૂર્વક પ્રયાસ કર્યો છે, કારણ કે, પાંડુરંગ શાસ્ત્રીની પ્રેરણાથી, છેલ્લા છ દાયકાથી નિયમિત રીતે ગીતા વાંચું અને માણું  છું, જે જીવનની પળે પળને જાગૃત અને તાજગીભરી રાખે છે. સેંકડો વાર વાંચ્યા છતાં હજી તૃપ્તિ થતી નથી. તેને વધારે સમજાવતા વિનોબાનું “ ગીતા પ્રવચનો” કે રામસુખદાસનું “ ગીતા; સાધક સંજીવની” જેવા પુસ્તકો સમજને ગાઢ બનાવે છે. એટલે તે વર્ષોથી મનમાં વાગોલાયા  કરે છે. એટલે જ લખવાની મજા ભોગવી છે. આશા રાખું, વિદ્યાર્થીઓ પણ વાંચશે ત્યારે તેનો અંશ માણશે. તો લખ્યાનું સાર્થક થશે.

    આશા છે, પુસ્તકનો શિક્ષણ જગતમાં સ્વીકાર થશે અને વિદ્યાર્થીઓને ગમશે. તેમાંથી એકાદને પણ ગીતાનો છંદ લાગી જશે અને તેઓ તેના અભ્યાસુ થશે, તો તેમના જીવનમાં ક્રાંતિ આવી જશે તેની શ્રદ્ધા છે. આવું થશે તો તેના નિમિત બનવાનો પણ, ભલે પરોક્ષ,  આનંદ  થશે. કોઈ અભિપ્રાય મળશે તો વધારે આનંદ થશે.


    હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ  રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • ચૂંટણીમાં બિનહરીફ વિજેતા લોકતંત્ર સામેનો પડકાર છે

    નિસબત

    ચંદુ મહેરિયા

    ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટ સમક્ષની એફિડેવિટમાં ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થવાને એક દુર્લભ અને અપવાદરૂપ બિના ગણાવી છે. પંચે તેની દલીલના સમર્થનમાં જણાવ્યું છે કે ૧૯૫૧થી ૨૦૨૪ સુધીની ૧૮ સામાન્ય ચૂંટણીઓમાં કેવળ નવ જ વખત અને ૧૯૯૧ પછી માત્ર એક જ વખત આવું બન્યું છે. આઝાદી પછીના બે દસકામાં ૩૫ ઉમેદવારો લોકસભા ચૂંટણીમાં બિનહરીફ વિજેતા થયા છે. એક અન્ય અભ્યાસમાં ૨૯૮ ધારાસભ્યો વગર ચૂંટણીએ જીત્યા હોવાનું જણાવાયું છે.

    ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ૨૬ બેઠકો પૈકી ૨૫ બેઠકો પર જ ચૂંટણી થઈ હતી. સુરત લોકસભા બેઠક પરના  ભારતીય જનતા પક્ષના ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાયા હતા એટલે તે બેઠક પર મતદાન થયું નહોતું. એ જ વરસે લોકસભા સાથે પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ૬૦ બેઠકોની ચૂંટણી હતી. અરુણાચલની આ ચૂંટણીમા ૧૦ બેઠકો પરના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. તાજેતરની ગુજરાતની પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ૭૦૦ કરતાં વધુ બેઠકો પરના ઉમેદવારો બિનહરીફ વિજયી થયા છે. તેમાંથી મોટાભાગના ઉમેદવારો સ્વાભાવિક જ બીજેપીના છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે કોંગ્રેસના ૧૨ ઉમેદવારો અને ૩ અપક્ષો પણ બિનહરીફ થયા છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી બીજેપીની રાજવટ હોય અને કોંગ્રેસ અસ્તિત્વ માટે ઝઝૂમતી હોય ત્યારે તેને એક ડઝન બેઠકો તેની સામે કોઈ ઉમેદવાર જ ન હોવાથી વગર ચૂંટણી લડે મળે તે આશ્ચ્રર્યજનક સમાચાર નથી શું? વળી આ બાબત બિનહરીફ ચૂંટણી (Uncontested Election) ના મુદ્દાને ઑર પ્રાસંગિક બનાવે છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની ધારા ૫૩(૩)માં બિનહરીફ ચૂંટણી પ્રક્રિયાની જોગવાઈ છે. તે મુજબ જો કોઈ ચૂંટણીમાં ભરવાપાત્ર બેઠકોની સંખ્યા જેટલા જ ઉમેદવારો હોય, દા.ત. એક બેઠક માટે એક જ ઉમેદવાર હોય,  તો કોઈ મતદાન કરાવવાનું રહેતું નથી. વગર મતદાને ચૂંટણી અધિકારી ઉમેદવારને બિનહરીફ વિજેતા ઘોષિત કરે છે. આ જોગવાઈ અને તેની અસરો સંબંધે અદાલતો સમક્ષ રજૂઆતો થઈ છે અને છેલ્લે સર્વોચ્ચ અદાલતે પણ નિર્વિરોધ ચૂંટણી અંગે કેટલાક આકરા નિરીક્ષણો કર્યા છે.

    સુપ્રીમ કોર્ટે બિનહરીફ ચૂંટાવા બાબતે થયેલી જાહેરહિતની અરજીઓ પર સરકાર અને ચૂંટણી પંચનો જવાબ માંગ્યો છે. દરમિયાનમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે વગર ચૂંટણીએ કોઈ ઉમેદવારને બિનહરીફ વિજેતા ઘોષિત કરવો તે લોકતાંત્રિક મૂલ્યોની વિરુધ્ધ છે. બિનહરીફ ઉમેદવારને ચૂંટાયેલો જાહેર કરતાં પહેલા તેણે અમુક લઘુતમ મતો તો મેળવ્યા જ હોવા જોઈએ તેવી જોગવાઈ થવી જોઈએ તેમ પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. નિર્વિરોધ વિજેતા માટે લઘુતમ મતોની અનિવાર્યતાની જોગવાઈ લોકતાંત્રિક પ્રક્રિયાને વધુ પારદર્શી અને મજબૂત બનાવી શકે છે.

    નાગરિકોના મતદાનના અધિકાર(Right to Vote)ની સુરક્ષા માટે જરૂરી છે કેબિનહરીફ ઉમેદવાર મતદારોનું પર્યાપ્ત સમર્થન મેળવે. મતદારોને પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો જે મૂળભૂત અધિકાર મળ્યો છે તે મતદાન દ્વારા જ તે વ્યક્ત કરે છે. જો વગર મતદાને તેમનો લોક્પ્રતિનિધિ ચૂંટાઈ જાય તે ભલે કાયદેસર કે બંધારણીય હોય પણ મતદારોનું તે સાચું પ્રતિનિધિત્વ કરતો નથી તેમ કહી શકાય. મતદારોને પોતાની પસંદગી વ્યક્ત કરવાનો અધિકાર મતદાન થકી મળે તે પહેલાં જ તે ચૂંટાયેલો જાહેર થઈ જાય તેનાથી મતદારોની લાગણી અને લોકતાંત્રિક ભાવના આહત થાય છે.

    ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ સૂર્યકાંત તો કહે છે કે જો કોઈને ૫ ટકા મતદારોનું પણ સમર્થન નથી અને તે પૈસાના જોરે કે સત્તાના બળે બધા ઉમેદવારોને મનાવી લે છે તો આવા ઉમેદવારને લોકપ્રતિનિધિ તરીકે સંસદ કે વિધાનગૃહમાં પ્રવેશવાનો કોઈ અધિકાર જ નથી.

    બિનહરીફ ચૂંટાતો ઉમેદવાર મતદારોનો નોટા કે નકારનો મત,  જેના દ્વારા મતદારો મતપત્રમાં જણાવેલ પૈકીનો એકેય ઉમેદવાર તેના મતને પાત્ર નથી,  તેવી જે જોગવાઈ છે તેનો ઉપયોગ કરે છે,  તેને રોકે છે. બિનહરીફ ચૂંટાવાથી મતદારને નોટાનો અધિકાર વ્યક્ત કરવાની તક મળતી નથી. ૨૦૧૩નો  સુપ્રીમ કોર્ટનો એક આદેશ જણાવે છે તે પ્રમાણે નોટા  પસંદ કરીને નકારાત્મક મત આપવાનો મતદારનો હક બંધારણના અનુચ્છેદ ૧૯ મુજબ સંરક્ષિત છે. આ અધિકાર ચૂંટણી લડતા ઉમેદવારોની સંખ્યાથી સ્વતંત્ર છે. એટલે માત્ર એક જ ઉમેદવાર હોવાથી ચૂંટણી ન કરાવવી તે મતદારોના નોટાના અધિકારનું હનન છે. જોકે સરકારનો મત છે કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની ધારા ૭૯(બી) હેઠળ નોટાને ઉમેદવાર માનવામાં આવતો નથી. એટલે બિનહરીફ વિજેતાના કિસ્સામાં મતદાન કરાવવાની માંગણી કરવી અને નોટાના ઉપયોગની છૂટ આપવી તે વાજબી નથી.

    વગર ચૂંટણીએ લોકસભા કે ધારાસભાના સભ્ય થઈ જવાનું આ વલણ જો વધે તો તેના માઠા પરિણામો આવી શકે છે. ૨૦૨૪માં સુરત લોકસભા સીટ પર કુલ ૨૯.૪૦ લાખ મતદારો હતા. બિનહરીફ ચૂંટણીને કારણે આશરે ત્રીસ લાખ મતદારોના પ્રતિનિધિ એક પણ મત મેળવ્યા સિવાય મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની શક્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં કુલ બેઠકોના આશરે ૧૦ ટકા પણ બિનહરીફ ચૂંટાયા છે તો તેમણે પણ લાખો મતદારોનું મતદાન દ્વારા કોઈ સમર્થન મેળવ્યું નથી. એ દ્રષ્ટિએ વિચારતાં આ બાબત મતદારોની પસંદગીની તકને છીનવે છે, તેમની મતદાન થકી લોકશાહીમાં ભાગીદારીને સીમિત કરે છે. કેમ કે મતદાન નહીં થવાથી મતદારો તેમના પસંદગીના ઉમેદવારને ચૂંટી શકતા નથી કે બિનહરીફ જાહેર થયેલને નકારનો મત પણ આપી શકતા નથી.

    ગાંધીજીએ સર્વસંમતિ આધારિત શાસનની પરિકલ્પના કરી હતી. પરંતુ સમરસ પંચાયતો કે બિનહરીફ ચૂંટણી  ન તો ગાંધીની પરિકલ્પના પ્રમાણે છે કે ન તો લોકતંત્રના સિધ્ધાંતો પ્રમાણે છે. આ તો નિષ્પક્ષ પ્રતિનિધિત્વનો છેદ ઉડાડે છે. ભારતમાં લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા પોણી સદી વટાવી ગઈ છે અને ખાસ્સી પુખ્ત થઈ ગઈ છે. આજે દેશમાં રાજકીય પક્ષો વધ્યા છે તો ચૂંટણી લડવાની મહત્વાકાંક્ષા સેવનારા લોકો પણ વધ્યા છે એટલે ઉમેદવારોની સંખ્યા અને હરીફાઈ વધવી જોઈએ. બિનહરીફ ચૂંટણી તો અતિ દુર્લભ કે ભાગ્યે જ બનતી ઘટના બનવી જોઈએ. તેના બદલે તેનું ચલણ વધી રહ્યું છે.

    ” વિધિ: સેન્ટર ફોર લીગલ પોલિસી”  અને અન્યની જાહેર હિતની અરજીઓ પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થવાની છે. બિનહરીફ ચૂંટણી સંદર્ભમાં લઘુતમ લોક સમર્થનની અનિવાર્યતા લાગુ પાડવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયામાં લોકોની ભૂમિકા અને મહત્વ જરૂર વધશે. લોકતાંત્રિક આદર્શોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બિનહરીફ ચૂંટણી પર લગામ લગાવવી પડશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્નું : પ્રકરણ ૧ – કાશ્મીરનું સ્વપ્ન

    “કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્નું” ઈ. સ. ૧૯૧૧માં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય તરફથી પ્રસિદ્ધ થયેલું.

    ઈ. સ. ૧૮૯૨માં માત્ર અઢાર વર્ષની ઉમ્મરે તેમણે આ પુસ્તક પહેલવહેલું લખેલું. એમાં તેમના સંસ્કારી હૃદયની, તેમની સૃષ્ટિસૌંદર્ય નીરખવાની ને તેને સરળ ને રસિક શૈલીથી આલેખવાની તેમની શક્તિની આપણને પ્રતીતિ થાય છે.

    ⁠પોતાના કાશ્મીરના પ્રવાસનું વર્ણન તેમણે તેમના શિક્ષક સ્વ. નરહર બાલકૃષ્ણ જોશીને ઉદ્દેશીને લખાયેલા પત્રરૂપે આલેખ્યું છે. એમાં તે સમયના કાશ્મીરના સૃષ્ટિસૌંદર્યનું તેમ જ પ્રવાસમાંની સગવડ-અગવડનું ચિત્રણ ચીતર્યું છે, જે આજેય સુરમ્ય લાગે છે.

    “સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ”ના તત્કાલિન પ્રમુખ શ્રી મનુ સુબેદારનાં પુસ્તકની બીજી આવૃતિમાંના નિવેદનમાંથી


    સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’

    ૧-કાશ્મીરનું સ્વપ્ન1

    શાર્દૂલવિક્રીડિત

    ક્યાંઈ છે ખુબ ધીટ વનનાં ઝાઝાં ફૂલોથી ભર્યાં,
    વેલીના નવરંગથી લટકતાં સારાં પટોળાં ધર્યાં;
    ક્યાંઇ છે તૂટીને પડેલ ભુખરાં પાનો વિના ઝાડવાં,
    જોગીનો ધરી વેષ ભેખ લઈને જાણે બિચારાં પડ્યાં.

    ક્યાંઈ છે સુઘરી તણા લટકતા માળા નદીની પરે,
    નીચે મોર કળા કરે પ્રિય કને લીલા ગલીચા પરે;
    ક્યાંઈ છે ફરતાં યૂથો ગજ તણાં ભાંગે ધણી ડાળીને,
    તેઓનાં બચલાં રમે જલ વિષે માતા કને દોડીને.

    છે ક્યાંઇ અતિ ઘોર ગંભીર ગુફા, કાળી ઘટા ઝાડની,
    કાળી તે દિસતી છવાઇ જઈને અંધારી છે તે ઘણી;
    વ્હે છે જોસ ભરી નદી અહિં તહિં, નાળાં પડ્યાં વિખરી,
    કુંજોમાં ઝરણાં વહે ખળકતાં, છોળો ઉડે પાણીની.

    જ્યાં છે એવી નદી ઘણી, બરફના ઝાઝા જ્યહાં ડુંગરા,
    એવો કાશ્મીર દેશ છોડી દઈને જાઉં હવે હું ક્યહાં?

    ⁠:૧૮૯૨

    1“ફકીરી હાલ” પહેલાંના કેટલાક કાવ્યો


    ક્રમશઃ


     હવે પછી : પ્રકરણ ૨ – પત્રની શરૂઆત

    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • એક સાહિત્યિક તીર્થ અને તેમાં રહેલી પુસ્તકપ્રતિમાઓ – ભાટીઆની કુળકથા

    આદિમુદ્રિત ગ્રંથવૈભવ

    નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્‍દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્‍ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ  વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.

    ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્‍ક પર વાંચી શકાશે.

    https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/


    પુસ્તક ક્રમાંક: ખ ૧૧૪/ ૬૪૪  

    પુસ્તકનું નામ: ભાટીઆની કુળકથા

    મૂળ હિંદીમાંથી ભાષાંતર કરનાર: મથુરાદાસ લવજી

    છાપનાર: સુબોધપ્રકાશ છાપખાનું, મુંબઈ

    પ્રકાશન વર્ષ: સંવત ૧૯૪૦

    કિંમત:

    પૃષ્ઠસંખ્યા: ૬૧

    વિગત: ‘ન્યાતિબંધુઓને પોતાની જાતનો ઈતિહાસ જાણાવાને ઉપયોગી જાણીને મૂળ હિંદુસ્તાની ભાષામાં છપાયલા ગ્રંથનો ગુજરાતીમાં તરજુમો’ કરવામાં આવેલો છે. આ ઉપરાંત પણ થોડી વિગત ઉમેરવામાં આવી છે. પુસ્તકમાં ભાટીઆ વંશના ઉદ્‍ભવથી લઈને તેના વિસ્તાર અને કુલ ૮૪ નુખનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે. આ ૮૪ નુખનાં સાત મુખ્ય ગોત્ર અને પેટા ગોત્રનો તેમાં ઉલ્લેખ છે. ભાટીઆઓ સમગ્ર દેશના કયા કયા વિસ્તારોમાં વસેલા છે તેની રસપ્રદ વિગતો સમાવાયેલી છે.


    આ પુસ્તક નીચેની લીન્‍ક પર વાંચી શકાશે.

    https://rekhtagujarati.org/ebooks/ebooks-143


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • દુઃખ : એક ઉત્સવ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    ગામ-શહેરનાં ચોક, બજાર, ગલી, મહોલ્લામાં ચારેકોર સ્મશાનવત્ સૂનકાર હતો. કોરોનાની મહામારીના આતંક લીધે  નિસ્તબ્ધતા છવાયેલી હતી. મોતની સંખ્યા દિવસે દિવસે વધતી હતી. નાનાં-મોટાં, અમીર-ગરીબ, નેતા-અભિનેતા વચ્ચે ભેદ રાખ્યા વગર કોરોનાએ અનેક પરિવારોને પરેશાન કરી દીધા.

    સુરેશ આમાંથી બાકાત નહોતો. છેલ્લા ચાર-પાંચ દિવસથી તાવ જરાય ઓછો નહોતો થતો. અકાળ મૃત્યુનો ડર તીક્ષ્ણ ધારની જેમ મનને છેદી રહ્યો હતો એના ચહેરા પર ભય અને પીડાનો આતંક સાફ દેખાતો હતો. નાની અમસ્તી વાત કે વસ્તુ પણ ભયાનક સ્વરૂપે દેખાતી.  અખબાર, ટીવી., મોબાઇલ પર મિત્રો સાથે વાતોમાં કે ખાવા-પીવામાંય મન નહોતું લાગતું. પતિની પીડા જોઈને અનુપમા હોસ્પિટલમાં દાખલ થવા કહેતી. હોસ્પિટલનું નામ સાંભળતા જ સુરેશ સહેમી જતો.

    દર્દીની સારવાર કરવામાં કોવિડથી સંક્રમિત થવાની શક્યતાને લીધે હોસ્પિટલમાં સારવારમાં લાપરવાહી વર્તાતી હોય છે એવો ભ્રમ એના મનમાં ઘર કરી ગયો હતો. મરણાસને પહોંચી ગયો હોય એવી લાગણીથી ઘેરાયેલા સુરેશને મૃત્યુ સિવાય અન્ય કોઈ વિચારોય નહોતા આવતા. જીવન અર્થહીન લાગવા માંડ્યું.

    એ મરશે ત્યારે શત્રુઓ કેટલા ખુશ થશે, પત્ની બીજા લગ્ન કરશે, મૃત્યુ બાદ અગ્નિસંસ્કાર કરવાના બદલે એની લાશને જમીનમાં દાટી દેવાશે એવા સંભવિત દૃશ્યોની કલ્પનામાંથી જાતને જુદો તારવી નહોતો શકતો.

    સુરેશના શ્વાસ ખૂબ તીવ્રતાથી ચાલતા હતા. અડોશપડોશમાં કોઈનેય સુરેશની બીમારીની જાણ ન થાય એવી સતર્કતાથી અનુપમા દવા લઈ આવતી.

    “જાણો છો, અષાઢ મહિનામાં દર વર્ષે રથયાત્રાના પંદર દિવસ પહેલાં ઠાકુર જગન્નાથજીને પણ તાવ આવે છે, એમનેય નાની કોટડીમાં બંધ રહેવું પડે છે? આપણે તો સામાન્ય માણસો છીએ અને આ તો સીઝનલ તાવ છે. થોડી પીડા વેઠવી પડે એમાં ડરવાનું નહીં. જગન્નાથજી સહાય કરશે ને સૌ સારા વાના થશે. પણ, હવે સરકારી નિયમ અનુસાર ઓળખપત્ર આપીશું તો જ દવા મળશે ને વળી સ્વાસ્થ્યકર્મીઓ ઘેર આવીને તમને જોઈ જશે.” અનુપમા સુરેશને આશ્વાસન આપતા બોલી.

    સ્વાસ્થ્યકર્મી આવીને કોવિડ છે એવું કહેશે તો હોસ્પિટલમાં જવું પડશે, એ વિચારે સુરેશ વધુ ગભરાઈ ગયો. થોડીવારમાં સ્વાસ્થ્યકર્મીઓ આવ્યા. નજીકના પરીક્ષણ કેન્દ્ર પર લઈ જઈને પરીક્ષણ કરવામાં આવ્યું. રિપોર્ટ આવે ત્યાં સુધી ઘરમાં જ ઈલાજ કરવાની સૂચના મળી. તત્કાળ તો સુરેશને હાશ થઈ, પણ એ હાશ લાંબી ન ચાલી.

    સોસાયટીમાં સુરેશને કોરોના થયાની અફવા ફેલાવાથી લોકોએ એનાથી અંતર રાખવા માંડ્યું. દૂધવાળા, છાપાવાળા, શાકભાજીવાળાએ ઘેર આવવાનું ટાળ્યું. સોસાયટીના લોકોના વ્યવહારથી એ વધુ ભયભીત થયો.

    હવે તો સુરેશને સપનામાંય કાળાં, બિહામણા, ડ્રેગન જેવી આગ ઓકતા રાક્ષસો, હાથમાં તલવાર અને ગળામાં ખોપરીઓની માળા પહેરેલી રાક્ષસીઓ દેખાતી. ઘડીભરમાં એ સૌના ચહેરા સોસાયટીવાળાના ચહેરામાં ફેરવાઈ જતા. એમના પાશમાંથી છૂટવા મથતા સુરેશને એ લોકો ચારેકોર લપકારા લેતી આગ કે જ્વાળામુખીમાં ફેંકી દેતા.

    ઊંઘમાંય સુરેશ ‘કોરોના ….કોરોના…’ની બૂમો મારતો. પરસેવાથી લથબથ સુરેશને અનુપમા હડબડાવીને ઊઠાડી દેતી.

    એટલામાં ડોર-બેલ વાગ્યો. પરીક્ષણ કેન્દ્રમાંથી રિપોર્ટ લઈને ‘કોરોના વૉરિઅર’ ઊભો હતો.

    “અભિનંદન મી.સુરેશ. તમારો કોવિડ રિપોર્ટ નેગેટિવ છે.” સુરેશ કંઈ પૂછે એ પહેલાં એ બોલ્યો.

    સુરેશ તો ખુશીથી પાગલ…

    “મેં કોવિડ જેવા અજાણ્યા શત્રુને મહાત કર્યો.”

    સુરેશ તો જાણે જંગ જીત્યો, પણ કોરોનાએ જે જંગ આદર્યો હતો એનાથી ફરી લૉકડાઉનની જાહેરાત થઈ. જાનહાનીનો આંક ઉત્તરોઉત્તર વધતો ચાલ્યો. લાશોના ખડકલા વધતા ચાલ્યા. જાનલેવા બીમારીના ભયના લીધે સ્વજનોને અંતિમ સંસ્કાર આપવાથીય લોકો દૂર રહ્યા.

    સૌને સમજાયું કે પ્રકૃતિની સામે માનવ કેટલો પામર, કેટલો અસમર્થ છે. જીવન-મૃત્યુ, સુખ-દુઃખ, સ્મિત-શોક, હાનિ-લાભ જીવનના અંશ માત્ર છે.

    સુરેશ સાથે પણ એમ જ બન્યું. થોડા સમય પહેલાં કોરોના સામે જંગ જીતીને ખુશ થયેલા સુરેશના નસીબમાં એ ખુશી ઝાઝી ટકી નહીં.  કોવિડ વૅક્સીન, બુસ્ટર ડૉઝ લેવા છતાં એ ફરી બીમાર પડ્યો. જીવન મોત સામે જંગ હારી ગયું.

    સુરેશ-અનુપમાના પ્રેમલગ્ન બંનેમાંથી એક પણ પરિવારે સ્વીકાર્યા નહોતા. પતિના મૃત્યુ બાદ અનુપમા પોતાની જાતને સંભાળવા અસમર્થ હતી ત્યાં નાનકડી દીકરીને ક્યાં સંભાળે? મોત જ એક રસ્તો દેખાતે હતો જેનાથી આ સંજોગો સામે મુક્તિ મેળવી શકે. એણે નિર્ણય લઈ લીધો, પણ માનવીએ લીધેલા નિર્ણયને ઉપરવાળો ક્યાં માન્ય રાખે છે? આત્મહત્યા કરવા નદીમાં કૂદવા જતી અનુપમાને કોઈએ બચાવી લીધી.

    “મને મરવા દો. મારા જીવનમાં માત્ર દુ;ખ અને અંધકાર જ છે.” અનુપમા રડી પડી.

    “સંસારમાં પરિવર્તન અફર છે. દિવસ પછી રાત અને હર રાત પછી દિવસ આવે જ છે. સુખ-દુઃખનું પણ એમ જ છે. બંનેમાંથી એક પણ સ્થાયી નથી, એ સત્ય જે સમજી લે એ કશાથી ચલિત નથી થતાં. કૃપા કરીને હું જ્યારે બોલાવું ત્યારે જરૂર આવજો. મહત્વપૂર્ણ વાત કરવી છે.” કહીને અનુપમાને બચાવનાર એ વૃદ્ધે એને એક કાર્ડ આપ્યું.

    એટલામાં દીકરીના રડવાનો અવાજ સાંભળીને સફાળી ચોંકી.

    “અરેરે.. વગર વિચાર્યે એ શું કરવા બેઠી હતી !! જાણે વૃદ્ધના સ્વરૂપે આવીને ભગવાને એને અનર્થમાંથી બચાવી લીધી.

    એક દિવસ એને નિશ્ચિત સ્થળે બોલાવવામાં આવી.

    આખો હૉલ ભરેલો હતો. મંચ પર ઉપસ્થિત પેલા સજ્જનનું ભાષણ શરૂ થયું.

    “પ્રિયજનો,

    “આપને એવું લાગે છે કે, આપ સૌ વિફળ અને પરાજિત લોકો છો, પણ ખરેખર તો તમે સૌ હાર્યા પછી પણ વિજેતા બની શકો છો. વિફળતા વિરામચિહ્ન કે દુઃખદાયક સ્થિતિ નથી.

    “તમે જ સિદ્ધ કરી શકશો કે જીવન મૂલ્યવાન હીરો છે. માત્ર એને ચમકાવવાની જવાબદારી પોતાની છે.

    “આપણે હવા ભરેલો ફુગ્ગો લઈએ છીએ, પણ બીજા દિવસે એના હાલ જુદા હોય છે. સાચવીને રાખવા છતાં એમાંથી ધીમેધીમે હવા નીકળતી જાય એમ એ ઢીલો પડતો જાય છે. એવી રીતે મોહ-માયા, સુખઃદુખમાંથી પણ સમય આવતા તમારું મન મુક્ત થશે.

    “નિષ્ફળતા કાયમ સાથે નથી રહેતી. કેટલીય ચૂંટણીઓ હાર્યા પછી અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખ બન્યા. ૧૦૦ થી વધુ શૉટ અને ૩૦૦ મેચ હાર્યા પછી માઇકલ જોર્ડન બાસ્કેટ- બોલના શ્રેષ્ઠ ખેલાડી ગણાય છે.

    “રામેશ્વરમ્ માં અખબાર વેચવાવાળો છોકરો- અબ્દુલ કલામ ‘મિસાઇલ-મેન’નું બિરુદ અને ભારતના રાષ્ટ્રપતિનું સન્માન પામ્યા.

    “એક અખબારમાંથી છુટ્ટા કરવામાં આવેલ યુવાન વૉલ્ટ ડિઝનીનું નામ આજે પણ અમેરિકાની એનિમેશન ઇન્ડસ્ટ્રિમાં આદરથી લેવાય છે.

    “કમ્પ્યૂટર, ઈ-મેઇલ કે ઇન્ટરનેટથી સાવ અજાણ એવા જેક- મા ચીનના સૌથી સફળ મેગ્નેટ, રોકાણકાર, અલીબાબા ગ્રુપના સહ-સ્થાપક ધનિક વ્યક્તિ તરીકે વિશ્વભરમાં જાણીતા છે.

    “જેમની મા માનસિક રોગીઓની હોસ્પિટલમાં હતી, પિતાના મૃત્યુ પછી ભારે જહેમતથી ભાઈને ઉછેર્યો, જેમનું બાળપણ અતિ કષ્ટદાયી હતું એવા ચાર્લી ચેપ્લિન આજે પણ સૌ કોઈની સ્મૃતિમાં છે.

    “યાદ રાખજો, ખરું ગૌરવ નિષ્ફળતા પછી હાર માનવાના બદલે ઊભા થઈને સફળ થવાનો પ્રયાસ કરવામાં, નિષ્ફળતા પરથી પાઠ શીખીને વિજેતા બનવામાં છે.”

    મંચ પર વક્તવ્ય પૂરું થયું ત્યારે ઉપસ્થિત શ્રોતાના ચહેરા પરથી દુઃખની છાયા ઓસરી અને સાહસ, ઉત્સાહની ભરતી ચઢી. સુરેશના ગયા પછી અનુપમાને પહેલી વાર દુઃખને સફળતાનો પાયો કેવી રીતે બનાવાય એ સમજાયું.


    દાશરથિ ભૂયાં લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • નવાં ચંપલ

    આશા વીરેંદ્ર

    રંગય્યા ને નિર્મળાનાં પાંચ પાંચ સંતાનો હરિશરણ થયાં. એ પછી કેટલાય દોરા-ધાગા કર્યા પછી રમણ જીવ્યો તો ખરો પણ એના જન્મતાંની સાથે જ નિર્મળાએ આંખ મીંચી દીધી.

    ‘દેવા રે દેવા,આ તેં મારી સાથે કેવી મજાક કરી?  એની માને દીકરાના કેટલા ઓરતા હતા ને એ તો એનું મોઢું જોવાય ન ઊભી રહી!’ રંગય્યા મનોમન પ્રભુ સાથે આવા સંવાદ કરતો પણ પછી એણે રમણમાં જ પોતાનો જીવ રેડી દીધો.

    એ મોચીકામ કરતો. ચંપલ ને છત્રી રિપેર કરવાં, બૂટનું તળિયું નાખવું, એવાં નાનાં-મોટાં કામ કરીને બાપ-દીકરા જોગું કમાઈ લેતો. બરાબર સરકારી નિશાળની સામે એની બેસવાની જગ્યા હતી. ત્યાં લીમડા નીચે એ પોતાની પેટી લઈને બેસતો. એ કામ કરતો હોય ત્યારે રમણ એની બાજુમાં બેસી રહેતો. એક દિવસ શાળાના મુખ્ય શિક્ષક દિલીપસરની નજર આ બાપ-દીકરા પર પડી. એમણે રંગય્યાને કહ્યું, “ભાઈ, તું આખો દિવસ છોકરાને તારી પાસે બેસાડી રાખે છે એના કરતાં નિશાળમાં ભણવા મોકલતો હોય તો? વાંચતાં-લખતાં શીખશે તો કાલ ઊઠીને આગળ આવી જશે.”

    રંગય્યાને પોતાના કાન પર ભરોસો ન બેઠો. એને થયું, સાહેબ મારી મજાક તો નહીં કરતા હોય ને? અમારા જેવા ચામડા સાથે કામ કરનારના છોકરાને કોણ ભણાવે? બે હાથ જોડી એણે કહ્યું, “મારા રમણને નિશાળમાં આવવા દેશો? અમે તો… અમે તો પેલી બસ્તીમાં રહેવાવાળા લોકો છીએ.”

    “એમાં શું થયું? હું ઊંચ-નીચમાં નથી માનતો. મારે માટે તો બધા સરખા. કાલથી છોકરાને મોકલવા માંડ. સરકારની મધ્યાહ્ન ભોજન યોજનામાં એને જમવાનું પણ મળશે એટલે તારે જરાય ચિંતા નહીં.”

    રમણ નિશાળમાં ભણવા જશે? હજીય રંગય્યાના માનવામાં નહોતું આવતું. ઘરે જઈને  પાઈ પાઈ કરીને જે કમાણી ભેગી કરી હતી એ પૈસા લઈ એ બજારમાં ગયો. રમણ માટે એક ખમીસ અને ચડ્ડી ખરીદ્યાં. બીજે દિવસે નવાં કપડાં પહેરીને રમણ તૈયાર થયો ત્યારે એ કોઈ રાજકુંવર હોય એમ રંગય્યા એને તાકી રહ્યો.

    “લો સાહેબ, આજથી આ છોકરો તમને સોંપ્યો. તમારે જ એનો ઘાટ ઘડવાનો છે.” ગળગળા સાદે આટલું બોલીને એણે રમણનો હાથ દિલીપસરના હાથમાં મૂક્યો. થોડા દિવસ પછી એણે પૂછ્યું, “સાહેબ, છોરો બરાબર ભણે છે ને? તોફાન નથી કરતો ને?”

    “એમ કર ભાઈ, આજે તો તું જ આવીને જોઈ લે કે, તારો છોકરો શું કરે છે?”

    કંઈક ડરતો અને કંઈક સંકોચાતો રંગય્યા છોકરાઓ જ્યાં ભણતા હતા એ પરસાળ નજીક જઈને ઊભો. રમણનો અવાજ સાંભળતાં એના કાન સરવા થયા. પાસે જઈને જોયું તો બાકીના છોકરાઓ બેઠા હતા અને રમણ વચ્ચે ઊભો રહીને બોલતો હતો, “આજે હું તમને ‘બાલશિક્ષા’માંથી એક વાર્તા વાંચી સંભળાવું છું. એક વખત એક રાજા શિકારે નીકળ્યો… ”

    ‘લે, મારા રમણિયાને વાંચતાં આવડી ગયું! આટલા બધા છોરાઓની સામે ઊભો રહીને કેવો વાંચે છે!’ રંગય્યાની આંખમાંથી ટપટપ આંસુ પડવા માંડ્યાં. દિલીપસરે બાજુમાં આવી એને ખભે હાથ મૂકી કહ્યું, “તારો દીકરો બહુ પાણીદાર છે. એટલે જ તો મેં એને મોનિટર બનાવ્યો છે. એક દિવસ રમણ તને મોટરમાં બેસાડીને ફેરવશે જોજે! આજથી એની બધી જવાબદારી મારી, બસ?”

    જાણે સાક્ષાત્ ભગવાનને જોતો હોય એમ રંગય્યા બે હાથ જોડીને સાહેબને જોઈ રહ્યો. વાંકો વળીને એમને પગે લાગવા ગયો ત્યારે એણે સાહેબનાં તૂટેલાં ચંપલ જોયાં. “સાહેબ, આજનો દિવસ તમારાં ચંપલ મને આપો. કાલે નવાં કરીને પાછાં આપીશ. ના ન પાડશો સાહેબ, મને આટલું કરવા દો.”

    સાહેબે હસીને કહ્યું, “સારું લઈ જા ને મારે માટે કંઈક કરવાની તારી ઇચ્છા પૂરી કર. મને તો ખુલ્લા પગે ફરવાની આદત છે એટલે તને ચંપલ આપવામાં વાંધો નથી.”

    ઘરે જઈને રંગય્યા ખાધા-પીધા વિના ચંપલની મરામત પાછળ લાગી પડ્યો. દોઢ-બે કલાકની મહેનતને અંતે ચંપલ એકદમ નવાં જેવાં થઈ ગયાં ત્યારે પોલિશ કરીને, ચમકાવીને એણે અભરાઈ પર મૂક્યાં ને ઘડીક આડે પડખે થયો. હજી તો માંડ આંખ મળી હશે ત્યાં ચારે બાજુ હો હા ને બૂમાબૂમ સંભળાવા લાગી, “ભાગો, ભાગો, બસ્તીમાં આગ લાગી છે. જલદી ઘરની બહાર નીકળો.”

    આંખો ચોળતો રંગય્યા ઊભો થવા ગયો ત્યાં એણે જોયું કે, એનું ઝૂપડું પણ આગની ઝપટમાં સપડાઈ ગયું છે. બેબાકળો થઈને એ દોડવા ગયો ત્યાં એને ચંપલ યાદ આવ્યાં. એ વળી પાછો અંદર ઘૂસ્યો. બહારથી લોકો બૂમ પાડતા હતા, “રંગય્યા, જલદી બહાર નીકળ. તારું ઝૂપડું હમણાં બળીને ખાખ થઈ જશે.” ચંપલ છાતીએ લગાડીને એ ધુમાડાથી ભરેલા ઘરમાંથી ખાંસી ખાતો બહાર નીકળ્યો એ ભેગું ઝૂંપડું કડડભૂસ કરતું તૂટી પડ્યું. આગના ખબર મળતાં દિલીપસર પણ બસ્તીમાં આવી પહોંચ્યા હતા. લથડિયાં ખાતો રંગય્યા એમની પાસે પહોંચ્યો અને માંડમાંડ બોલ્યો, “સાહેબ, જુઓ, ચંપલ એકદમ નવાં જેવાં થઈ ગયાં છે ને?”

    “આ તેં શું કર્યું રંગય્યા? ચંપલ તો બીજાં પણ લઈ શકાત પણ તને કંઈ થઈ જાય તો તારા રમણનું કોણ?”

    “તમે છો ને સાહેબ, મારી કરતાં સવાયા ! હું તો જીવું તોય એને ચંપલ સાંધવા સિવાય બીજું કંઈ શીખવી શકું એમ નથી. જ્યારે તમે? તમે તો એને મોટરમાં ફરતો કરવાના છો. એને મોટો સાહેબ બનાવવાના છો. વધારે કંઈ નહીં તોય હું તમારા પગમાં ચંપલ પહેરાવ્યાનો સંતોષ તો લઈને જઈ શકું ને?” બોલતાં બોલતાં એનો શ્વાસ ફૂલવા લાગ્યો. સાયરન વગાડતી એમ્બ્યુલંસ આવી પહોંચી. રંગય્યાને એમાં સુવડાવી દિલીપસર એની બાજુમાં બેઠા અને એનો હાથ પકડીને કહેવા લાગ્યા, “તને કંઈ નહીં થાય.”

    હળવું સ્મિત કરતા રંગય્યા બોલ્યો, “મને કંઈ થાય એની મને ચિંતા નથી. હું જાણું છું કે, મારા દીકરાને એક બીજો બાપ મળી ગયો છે.”


    (વેંકટ નારાયણરાવની તેલુગુ વાર્તાને આધારે)


    ભૂમિપુત્ર : ૧૬ મે, ૨૦૨૪