વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ત્યારે અને અત્યારે : યુદ્ધની બદલાતી તાસીર

    આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.

    આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

    આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

    એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.


    પરેશ ર. વૈદ્ય

    યુદ્ધ કથા: રમ્યા:

    આ એક સંસ્કૃત કહવત છે, જેનો અર્થ થાય છે કે યુદ્ધની વાતો મનોરજક હોય છે. આવં કેમ કહ્યું હશે તેનું આશ્ચર્ય થાય. કદાચ એટલે હોય કે એ જમાનામા યુદ્ધ વસ્તીથી દૂર, મદાનોમા લડાતાં અને સૂર્યાસ્તની વળાએ બધ પણ કરાતાં. શક્ય છે કે સજયનું મહાભારતનું વર્ણન  શહરીજનોને મનોરંજક લાગે, પરત ધૃતરાષ્ટ્રને તો ન જ લાગે. જેના માથા ઉપર યુદ્ધ ચાલતું હોય એવા નાગરિકોને માટે તો એ તકલીફ જ. ભલેને એનો દેશ જીતતો હોય.

    સમય જતાં યુદ્ધનું સ્વરૂપ બદલાતું જાય છે. બહુ પ્રાચીન સમયને છોડો, તો ૫૦-૬૦ વર્ષ પહેલાં ભારતે લડેલાં ત્રણ યુદ્ધો પણ સરહદ ઉપર જ લડાયાં હતાં. પરંતુ આજના યુદ્ધની અસર દેશની સીમાની અંદર દૂર સુધી પડે છે. દુશ્મનની જમીન કબજે કરવાનો ઇરાદો ન હોય તો પાયદળના સૈનિકોએ સરહદ પાર પણ નથી કરવી પડતી. મિસાઇલ, ડ્રૉન અને સાહસ હોય તો બૉમ્બર વિમાનો ઘરબેઠે છોડી શકાય છે. બે વર્ષથી ચાલી રહેલાં રશિયા–યુક્રેન અને ઇઝરાયલ–ગાઝાનાં યુદ્ધો આનાં વરવાં ઉદાહરણ છે. અક્ષાંશ-રેખાંશ ખબર હોય તો GPSની મદદથી જે મકાનને તોડવું હોય તે જ તોડી શકાય, એમાં અંધારપટ (બ્લૅકઆઉટ) પણ નડતો નથી. સૈદ્ધાંતિક રીતે આવા યુદ્ધમાં નાગરિકોની જાનહાનિ થવી ન જોઈએ, પરંતુ વ્યવહારમાં તેનાથી ઊંધું જ બનતું આપણે જોઈએ છીએ.

    આપણું પોતાનું છ માસ પહેલાંનું પાકિસ્તાન સાથેનું યુદ્ધ પણ આવું જ, ટેક્નોલૉજી આધારિત હતું. ભારતે મિસાઇલ તથા ડ્રૉનથી ત્રાસવાદીઓનાં રહેઠાણો ઉપરાંત વિમાની સેવાનાં યંત્રો નકામાં કરી દીધાં. આટલું થયા પછી જ્યારે યુદ્ધવિરામ થયો ત્યારે કેટલાય લોકો નારાજ થયા. એમની ઇચ્છા દુશ્મનને વધુ સજા કરવાની હતી; તેનું કારણ એ કે લડાઈ એક તરફી હતી. અમૃતસર, ભુજ કે જયપુર ઉપર દુશ્મનનાં વિમાનો ફર્યાં હોત કે પછી બ્લૅકઆઉટ ચાર શહેરમાં ચાર દિવસને બદલે ઘણાં શહેરોમાં ૧૪ દિવસ ચાલ્યો હોત તો કદાચ આવી યુદ્ધલોલુપતા ન દેખાઈ હોત. ૧૯૬૫ અને ૧૯૭૧માં પશ્ચિમ સરહદનાં ઘણાં શહેરોમાં અંધારપટ કરાતો હતો. સરહદ ઉપર યુદ્ધ હોવા છતાં શહેરના નાગરિકોને અસર તો પડતી જ. બંને લડાઈઓમાં ભારતનો હાથ ઉપર હતો તે છતાં યુદ્ધવિરામની જાહેરાત થઈ ત્યારે સર્વત્ર હાશકારાની જ લાગણી હતી. યુદ્ધની કથા રમ્ય હશે, પણ યુદ્ધ રમ્ય નથી હોતાં.

    ભવિષ્યનાં યુદ્ધો કેવાં હોઈ શકે તેની કલ્પના કરી શકાય છે. યુદ્ધ માત્ર નબળા શત્રુ (પાકિસ્તાન) સાથે જ થાય એવુંય નથી; ચીન સાથે પણ થઈ શકે. આ સંદર્ભમાં ભૂતકાળમાં આપણે જોયેલાં યુદ્ધોનો ટૂંકો પરિચય કરવો અસ્થાને નથી. આ ત્રણેય લડાઈઓ પ્રણાલિકાગત (Conventional), સરહદ પરની લડાઈઓ હતી.

    ચીન યુદ્ધ (૧૯૬૨) : દેશ માટે આ સૌથી પહેલું મોટું યુદ્ધ હતું. આથી અગાઉ આઝાદી પછી તરતના ગાળામાં પાકિસ્તાને કાશ્મીર ઉપર હલ્લો કર્યો હતો. ત્યારે માત્ર પાયદળ લડતાં તેથી એની અસર માત્ર સ્થાનિક પ્રજા ઉપર પડી, પણ દેશના બીજા ભાગોમાં એ માત્ર સમાચાર બનીને રહી ગઈ. ચીને તિબેટ હડપી લીધું તેથી દલાઈ લામાએ ભાગીને ભારતમાં શરણ લીધું. તેનાથી ચીન નારાજ હતું. ૨૦ ઑક્ટોબરે તેણે લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ (ત્યારે NEFA કહેવાતું) એમ બે દૂરદૂરના ખૂણે ઘૂસણખોરી કરી. તેનું બહાનું છે કે બ્રિટિશ રાજ્ય અને તિબેટ વચ્ચે જે સીમા નક્કી થઈ હતી તે એને મંજૂર નથી. એ સીમારેખાને મેકમોહન રેખા કહે છે.

    તિબેટનો પઠાર આપણા કરતાં વધારે ઊંચાઈએ છે તેથી ચીનને એ સરહદે પહોંચવું સહેલું હતું, પરંતુ ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ લશ્કર પહોંચાડવું આપણે માટે અતિશય દુષ્કર હતું. શિયાળાની ઠંડીમાં એ સ્થળે લડાઈ કરવી લશ્કરને માટે પણ મુશ્કેલ. દેશના દૂરના ખૂણે લોકોને લડાઈના છાંટા ઊડ્યા નહોતા, કારણ કે બંને પક્ષોએ ઍરફોર્સનો ઉપયોગ નહોતો કર્યો . તે છતાં દેશના સામૂહિક માનસ ઉપર ઊંડી અસર થઈ, કારણ કે ચીનને આપણે મિત્ર માન્યું હતું તે છતાં હુમલો થયો. ચીનને આપણે પાછું ધકેલી ન શક્યા તેની નિરાશા અને ગુસ્સો પણ હતાં. આને કારણે દેશભક્તિનો જુદા પ્રકારનો જુવાળ જોવા મળ્યો. લોકો સરકારની સાથે ઊભા રહ્યા . સૈનિકોને લોહી અને સંરક્ષણ ફંડમાં ફાળો આપવા માટે લાઇનો લાગતી. ઉત્તર ભારતમાં લોકો સેનામાં ભરતી થવા લાગ્યા. વિદ્યાર્થીઓ એન.સી.સી. અને હોમગાર્ડમાં જોડાયા.

    યુદ્ધના વર્ણનની આપણી પહેલી ફિલ્મ ‘હક઼ીક઼ત’માં સૈનિકોનાં કુટુંબોની લાગણી વ્યક્ત થઈ. જાણીતું ગીત ‘અય મેરે વતન કે લોગોં…’ એ વખતે લખાયું અને શાળા-કૉલેજોમાં ખૂબ ગવાયું, ત્યારે તો શ્રોતાઓને એ ગીત સાંભળતાં આંસુ આવતાં. રેડિયો ઉપર જયમાલા અને જયભારતી જેવા કાર્યક્રમો લશ્કરના જવાનો માટે પ્રસારિત થવાનું શરૂ થયું. એ વાતાવરણ ૧૯૬૫ સુધી ચાલ્યું અને ત્યારે તેની ફરીથી જરૂર પડી.

    યુદ્ધ અને અંધારપટ: ૧૯૬૫ના પહેલા અઠવાડિયામાં પાકિસ્તાને કોઈ ઉશ્કેરણી વિના યુદ્ધ શરૂ કર્યું. એના ટ્રેલર રૂપે માર્ચ મહિને કચ્છ સરહદે તેણે છમકલાં કર્યાં જ હતાં. તે વેળા જ ત્યાંના લોકોને લશ્કરી વાહનોની હેરફેરનો અનુભવ થઈ ગયો હતો. શહીદોના મૃતદેહો પોલીસ લાઇન્સમાં આવીને પછી એમના ગામે મોકલાતા હતા. આ રીતે ગમગીની અને લડાઈનું વાતાવરણ પહેલાં જ હતું. પરંતુ ઑગસ્ટ પછી તેમાં નવું પાસું ઉમેરાયું, તે હવાઈ હુમલાના ડરનું. પહેલી વાર બંને દેશોએ હવાઈ દળને યુદ્ધમાં ઉતાર્યું હતું. કચ્છ, રાજસ્થાન અને પંજાબ એમ આખી સરહદે મોરચા ખૂલ્યા હોવાથી પશ્ચિમ સરહદનાં બધાં શહેરોમાં રાત્રીનો અંધારપટ જાહેર થયો.

    ફ્લાઈટ લેફ્ટનન્ટ ટ્રેવર કીલરે ૩ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ છાંબ વિસ્તારમાં  ૧૯૬૫ના યુદ્ધનું IAF વતી ખાતું ખોલ્યું | By special arrangement

    યુદ્ધ દોઢ મહિનો ચાલ્યું, તેથી અંધારપટ માટે વીજળી બોર્ડ સપ્લાય જ બંધ કરી દે તેવું વ્યાવહારિક નહોતું. નાગરિકો ઉપર જવાબદારી હતી કે તેઓ તકેદારી રાખે કે પોતાના ઘરમાંથી પ્રકાશ બહાર ન જાય; ન શેરીમાં પડે ન આકાશમાંથી દેખાય. એ જમાનામાં બારીઓ લાકડાની જ બનતી તેથી બારી બંધ કરવાથી કામ ચાલી જતું. તેમાં જો મોટી તિરાડો હોય તો તેના ઉપર કાગળ ચોંટાડી દેતા. બારણાં ઉપર વેન્ટિલેટર કાચનાં હોય તો તેને પણ કાગળ લગાડવાનો. રાત્રે નાગરિક સંરક્ષણ (સિવિલ ડિફેન્સ)ના યુવાન સ્વયંસેવકો, હોમગાર્ડ વગેરે ગલીઓમાં ફરતા અને બ્લૅકઆઉટનું યોગ્ય પાલન થાય છે કે નહીં તે જોતા. કદાચેય હવાઈ હુમલામાં બૉમ્બ પડે તો શું કરવું તેની એ લોકોને તાલીમ અપાઈ હતી. રડાર ઉપર દુશ્મનનું વિમાન કે કોઈ શંકાસ્પદ ચલન દેખાય કે તરત શહેરમાં ઠેક ઠેકાણે મૂકેલાં સાયરન ગરજી ઊઠતાં. અવાજની તીવ્રતા ઉપર-નીચે થાય તેવું આ સાયરન જ ભય પેદા કરતું. તે વખતે ધરતીકંપમાં લઈએ તેવી કાળજી લઈ સલામત સ્થળે સંકોચાઈને બેસી રહેતા. ભય ટળી જાય ત્યારે ‘ઑલ ક્લિયર’નું સીધું વાગતું સાયરન બોલે. લોકોને એ અવાજ મિત્રનો અવાજ લાગતો!

    આવી એક અંધારી સાંજે વડા પ્રધાન શાસ્ત્રીજી આકાશવાણી પર આવ્યા. તેમણે કહ્યું કે સેનાના વડા મારી પાસે આવ્યા હતા. મેં એમને કહ્યું છે કે ‘બહાદુરો, આગે બઢો, દેશ આપકે સાથ હૈ.’ એ પછી થોડા દિવસે ભારતની સેના લાહોરના પાદરે પહોંચી ગઈ. રાવી નદીની આ પાર આપણી સેના અને સામે લાહોર. માર્ગ માં ખેમકરણ પાસે આપણે અમેરિકાની બનાવેલી ‘પેટન’ ટૅન્કો નો ખુરદો બોલાવ્યો. આ કામમાં જીવ ગુમાવનાર હવાલદાર અબ્દુલ હમીદને મરણોત્તર પરમવીર ચક્ર મળ્યું . પરંતુ ગુજરાતે પોતાના મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય મહેતાને ગુમાવ્યા. પરાજયનો સામનો કરી રહેલાં પાકિસ્તાને કચ્છના આકાશમાં સિવિલિયન પ્લેનને તોડી પાડ્યું, જેમાં એમનાં પત્ની પણ સાથે હતાં.

    ખેમકરણમાં પેટન ટેન્કનું કબ્રસ્તાન                                                      પરમ વીર ચક્ર અબ્દુલ હમીદ

    રશિયાની દરમિયાનગીરીથી યુદ્ધ ત્રેવીસમી સપ્ટેમ્બરે રોકાયું. ચીન સામે હાર પછી આ જીતથી દેશમાં નવો આત્મવિશ્વાસ આવ્યો. જોકે એ વર્ષે દુકાળ પડ્યો હતો અને અમેરિકાએ P.L. 480 હેઠળ મોકલાતી અન્નની મદદ બંધ કરી, તેથી અનાજની તંગી વરતાઈ. શાસ્ત્રીજીએ લોકોને સોમવારે એકટાણું કરવાની અપીલ કરી. લોકોએ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો. આખા દેશમાં ‘શાસ્ત્રીજીના સોમવાર’ના નામે એ ઉપવાસ પ્રચલિત બન્યા. તેમણે ‘જય જવાન, જય કિસાન’નું સૂત્ર પણ આપ્યું. એ બહાને હરિત ક્રાંતિનાં બીજ રોપાણાં.

    બાંગ્લા દેશ માટે લડાઈ : ૧૯૭૧થી પહેલાં પાકિસ્તાન દેશ બે ભાગમાં વહેંચાયેલો હતો : પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન. પૂર્વ ભાગની બંગાળી પ્રજાએ સ્વાતંત્ર્ય ચળવળ ઉપાડી તેથી સૈન્યે ત્યાં ભીષણ અત્યાચાર ચલાવ્યો. તેના કારણે ૯૦ લાખ લોકો ભાગીને ભારત આવ્યા અને શરણાર્થી તરીકે રહ્યા. આ દબાણ હેઠળ ભારતની ગુપ્તચર સંસ્થા (RAW) તથા આપણી સેનાએ બંગાળી યુવાનોને ગેરીલા યુદ્ધની તાલીમ આપવી શરૂ કરી. આ પરિસ્થિતિમાં પાકિસ્તાન પશ્ચિમ મોરચે લડાઈ શરૂ કરે તે શક્ય હતું. આથી ભારત પણ તૈયારી કરતંુ હતંુ તે વાત જાણીતી છે. તેથી આગોતરા બચાવ તરીકે (preemptive strikeમાં) પાકિસ્તાને ત્રીજી ડિસેમ્બરના રોજ આપણાં ઘણાં બધાં હવાઈ મથકો ઉપર બૉમ્બમારો કર્યો. જેની રાહ વાતી જ હતી તે ખૂનખાર યુદ્ધ આમ શરૂ થયું.

    ગઈ લડાઈ કરતાં વધારે સંખ્યામાં હવાઈ હુમલાઓની સાથોસાથ આ વખતે બંને દેશનાં નૌકાદળ પણ યુદ્ધમાં ઊતર્યાં. બીજા જ દિવસે પાકિસ્તા ની સબમરીને આપણી યુદ્ધ નૌકા ‘ખુકરી’ને દીવ નજીક ડુબાડી દીધી. તેના જવાબમાં પૂર્વ કાંઠે વિશાખાપટ્ટનમ્ પાસે આપણે તેની એક સબમરીનને તોડી પાડી. પૂર્વ પાંખને એ લોકો મદદ ન પહોંચાડી શક્યા તેથી છેવટે ૧૬ ડિસેમ્બરે પાકિસ્તાનનું જે સૈન્ય ત્યાં હતું તેણે ઢાકામાં ભારત સામે સમર્પણ કર્યું. આપણે બંને મોરચે યુદ્ધવિરામ જાહેર કર્યો. નવા દેશ ‘બંગલા દેશ’નો આમ જન્મ થયો.

    ઓછા દિવસોનું હોવા છતાં આ યુદ્ધ ૧૯૬૫ કરતા વધારે તીવ્ર હતું. દેશનો આખો સમુદ્રકિનારો યુદ્ધના વાતાવરણમાં હતો. પાકિસ્તાની વિમાનોની ઉડાન આ વખતે દૂર સુધી ફેલાઈ હતી. એ વખતે ટેલિવિઝન ચૅનલો ન હતી. દૂરદર્શનનું એકમાત્ર કેન્દ્ર દિલ્હીમાં હતું, જે આકાશવાણી (રેડિયો) હેઠળ હતું, મુખ્યત્વે રેડિયો સમાચાર આપતો. એ જમાનામાં વર્તમાનપત્રો રણમોરચે ન જતાં, પરંતુ સ્રોતો પાસેથી મેળવેલી માહિતી આપવા વિશે કોઈ નિયંત્રણ ન હતાં. તેમ છતાં છાપાં સત્ય શોધક હોવાની સાથોસાથ જવાબદાર પણ હતાં. લોકોનો જુસ્સો ટકી રહે અને છતાં સમાચાર મળતા રહે તેવા સંયમથી કામ કરતાં. બીજી તરફ યુદ્ધ કરતા દેશોએ એકબીજાના નાગરિકોને યુદ્ધમાં ન સંડોવવાનો સંયમ રાખ્યો તે પણ નોંધપાત્ર છે.

    રાજકીય સમીકરણો અને ટેક્નોલૉજીના કારણે ભવિષ્યનાં યુદ્ધો માત્ર સરહદ પૂરતાં સીમિત રહે એવું માની ન શકાય. ૮૦ વર્ષ પહેલાં વપરાયેલું અને છતાં આધુનિક ગણાય તેવું શસ્ત્ર, તે પરમાણુ બૉમ્બ. એનો ઉપયોગ પણ કેમ, ક્યારે અને ક્યાં થાય તે ભાખવું સરળ નથી. આ વિવિધ સંભાવનાઓ માટે નાગરિકોની તૈયારી પણ જુદા પ્રકારની જોઈશે. આ બધાં છતાં ત્યાર જેવું કે અત્યારના પ્રકારનંુ યુદ્ધ જોવું ન પડે તેવી આશા રાખીએ.


    બધી સાંદર્ભિક તસવીરો – નેટ પરથી


    સૌજન્યઃ નવનીત સમર્પણ, નવેમ્બર, ૨૦૨૫


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કટ ઍન્ડ પૅસ્ટ આર્ટ – ૧

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah’s Kalasampoot – Cut and paste art – 1

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • સંસ્કૃત – શ્લોક/સુભાષિતો : પ્રિય વાણી

    દેવિકા ધ્રુવ

    શ્લોકઃ 

    प्रियवाक्य प्रदानेन् सर्वे तुश्यन्ति जन्तवः
    तस्मात् तदेव् वक्तव्यं वचने का दरिद्रता॥

    સમાસ વિભાજન અને શબ્દશ: ગુજરાતી અર્થ:

    प्रियवाक्य= प्रिय+वाक्य, प्रिय=પ્રિય,સારી,મીઠી, वाक्य=વાણી; प्रदानेन्=બોલવાથી, આપવાથી, सर्वे=બધાં, तुश्यन्ति=પ્રસન્ન થાય છે.; जन्तवः=પ્રાણીઓ, મનુષ્યો,

    तस्मात्= તેથી, तदेव्=तद्+ एव्=तद्=તેવી, તેવું, एव्=જ, वक्तव्यं=બોલવું જોઈએ.; वचने=બોલવામાં, વાણીમાં, का=કેમ, શા માટે, दरिद्रता= ગરીબાઈ,કંજૂસાઈ?

    શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ

    પ્રિય વાણી બોલવાથી સૌ કોઈ પ્રસન્ન થાય છે, સંતોષ પામે છે. તેથી હંમેશાં સારી વાણી જ બોલવી જોઈએ. બોલવામાં વળી કંજૂસાઈ શું કરવી?

    વિચારવિસ્તારઃ

    આ શ્લોકનો ભાવાર્થ એ છે કે, જ્યારે આપણે બીજાંઓ સાથે આદર અને સન્માનપૂર્વક વાત કરીએ છીએ તો સાંભળનાર વ્યક્તિ ખુશ થાય છે અને આપણા તરફ સારો ભાવ રાખે છે. તે ઉપરાંત, આપણા જીવન-વ્યવહારમાં પણ એક પ્રકારની સકારાત્મકતા આવે છે. તેથી દરેકે પ્રિય વાણી બોલવી જોઈએ. “સારા શબ્દો બોલવામાં શું કંજૂસાઇ કરવાની?” એમ કહી હળવી રીતે સારી વાણી બોલવાનું મહત્ત્વ દર્શાવ્યું છે.

    Sanskrit shlok in English script :

    Priya vaakyam pradaanen sarve tushyanti jantavah
    tasmat tadev vaktavyam vachane ka daridrata?

    Word to word meaning in English:

    Priya=Good, vaakyam= speech, Pradaanen-by saying,; sarve= everyone, Tushyanti =happy, jantavah= human beings;

    tasmaat= that’s why, tadev=tad+ev- like that, Vaktavyam=should speak,;  Vachane=in good words, ka=why ? daridrata?= be miser? make adjustment?

    Translation in English:

    Everyone becomes happy by listening to listen good, humble and respectful words. so, one should speak that kind of language. Why to be miser in saying good words?


    Devika Dhruva.
    ddhruva1948@yahoo.com| http://devikadhruva.wordpress.com

  • જે જાણતું તે મારતું, એ ક્રમ દીસે અકુદરતી

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ટેક્નોલોજી બેધારી તલવાર હોય છે. તેનો ઊપયોગ ચમત્કારિક પરિણામ લાવી શકે છે, પણ તે યોગ્ય રીતે ન પ્રયોજાય તો તેનાથી થતું નુકસાન ભરપાઈ કરી ન શકાય એવું હોય છે. એનો અર્થ એ કે તેનો છેવટનો આધાર તે કોના હાથમાં છે એની પર છે.

    કેમેરા અને બીજાં આધુનિક સાધનો થકી વન્ય જીવો વિશેની અનેક વિગતો જાણી શકાય છે, તેમ તેમની સમસ્યાઓ પણ પારખી શકાઈ છે. વન્ય જીવોની તસવીરો લેવાનો શોખ અનેક લોકોને હોય છે. અનેક કિસ્સામાં આવા શોખીનો દ્વારા કેટલીય દુર્લભ પ્રજાતિઓ વિશે જાણવા મળતું રહ્યું છે. પણ ઘણા કિસ્સામાં આવા શોખીનો અજાણતાંમાં કેવું નુકસાન કરી બેસે છે એનો નમૂનેદાર કિસ્સો પશ્ચિમ ઘાટનાં જંગલોમાં બન્યો છે.

    વનોની પોતાની એક આગવી જૈવપ્રણાલિ હોય છે. તેમાં અનેક પ્રજાતિઓ એકમેક પર અવલંબિત હોય છે. અહીં કોઈ વૃક્ષ ધરાશાયી થઈ જાય તો એ જમીન પર જ પડ્યું રહે છે. એનું પણ આગવું મહત્ત્વ છે. પશ્ચિમ ઘાટના કેરળમાં આવેલા કેટલાક વિસ્તારમાં ‘ગેલેક્સી ફ્રોગ’ નામના દેડકાની પ્રજાતિ જોવા મળે છે, જેનું જીવવિજ્ઞાનનું નામ ‘મેલાનોબાટ્રેકસ ઈન્‍ડિકસ’ છે.  નામ મુજબ જ તેમનો રંગ કાળો અને તેમાં તારા આકારનાં સફેદ ટપકાં હોય છે. આકાશગંગા જ જોઈ લો. આ પ્રકારના દેડકા મુખ્યત્વે જમીન પર આડા પડેલા થડની નીચે રહે છે અને વિકસે છે. તેની લંબાઈ બે સે.મી.થી લઈને સાડા ત્રણ સે.મી. સુધીની હોઈ શકે છે, અને તે નવસો મીટરની ઊંચાઈએ જોવા મળે છે. અમસ્તા પણ આ પ્રજાતિના દેડકા દુર્લભ અને તેથી જોખમગ્રસ્ત ગણાતા હતા.

    પશ્ચિમ ઘાટના આ વિસ્તારમાં આવા સાત દેડકા હતા. એક સ્થળે આડા પડેલા પચીસેક થડની નીચે તે વસતા હતા. થોડા સમય અગાઉ સંશોધકોની એક ટીમને પોતાની તપાસમાં જણાયું કે આ પચીસે પચીસ થડ ઊલટાવાઈ ગયેલાં છે, આસપાસના વિસ્તારમાં ઊગેલી વનસ્પતિ ચગદાઈ ગઈ છે, અને પેલા સાતે દેડકા ગાયબ છે. વધુ તપાસમાં જાણવા મળ્યું કે તસવીરકારોનું એક જૂથ આવેલું, જેણે આ દેડકાંને શોધવા માટે પેલાં થડિયાં ઊથલાવ્યાં, વધુ તીવ્રતાવાળી ફ્લેશગનથી તસવીરો લીધી, તસવીરમાં સારી પૃષ્ઠભૂમિ મળે એટલા માટે તેમને બીજે ગોઠવ્યા, અને હાથમોજાં પહેર્યા વિના તેમણે આમ કર્યું. આને કારણે એ દેડકાંમાં નિર્જળીકરણ, તણાવ તેમજ રોગનું સંક્રમણ થઈ શકે. ચારથી છ તસવીરકારો એના એ જ દેડકાની તસવીરો લેતા રહયા અને આવું સતત ચચ્ચાર કલાક સુધી ચાલ્યું.

    Galaxy frogs in the Western Ghats. | KP Rajkumar/ZSL, via Mongabay.
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    અમેરિકન સંસ્થા ‘સોસાયટાસ યુરોપીઆ હર્પેટોલોજિકા’ (એસ.ઈ.એચ.)ના પ્રકાશન ‘હર્પેટોલોજી નોટ્સ’માં આ અહેવાલ પ્રકાશિત થતાં આ હકીકતની જાણ થઈ. આ અહેવાલના મુખ્ય લેખક કે.પી.રાજકુમાર છે. તેમણે આ બાબતે વધુ જણાવ્યું છે કે: ‘આ દુ:ખદ ઘટના, અનિયંત્રીતપણે કરવામાં આવતી ફોટોગ્રાફીનાં પરિણામો કેવાં આવી શકે એ હકીકતની ગંભીર ચેતવણી સમાન છે. પોતાના રંગ તેમજ દુર્લભતાને કારણે આ દેડકાંને ફોટોગ્રાફરો શોધતા હોય છે. પણ એ ધ્યાન રાખવું જોઈએ કે આ દેડકાની તસવીરો લેવા માટેના ઉત્સાહમાં એ જ તસવીરકારો દ્વારા તેમનું નિકંદન ન નીકળી જાય. એ પણ એક વક્રતા જ કહી શકાય કે તેની દુર્લભતાને કારણે કેમેરામાં તેમને ઝડપવાની હોડ તેમને દુર્લભ અને ભૂતકાળની ચીજ બનાવી રહી છે. તે હવે તસવીરોમાં જ જોઈ શકાશે.’

    રાજકુમારે વધુમાં કહેલું, ‘ફોટોગ્રાફીને યોગ્ય રીતે કરવામાં આવે તો તે સંરક્ષણકર્તાને વિવિધ પ્રાણીઓ ક્યાં રહે છે, શી રીતે વર્તે છે વગેરે બાબતો સમજવામાં મદદરૂપ બને છે. આવી તસવીરો એ અદ્‍ભુત પ્રજાતિઓ વિશે શીખવામાં પણ મદદ કરે છે. પણ બેજવાબદારીપૂર્વક કરાયેલી ફોટોગ્રાફી જોખમી બની શકે છે.’ ભારતના જીવવિજ્ઞાની ઝીશાન મિર્ઝાએ પશ્ચિમ ઘાટ વિસ્તારમાં સાઠ જેટલી નવી પ્રજાતિઓ શોધેલી છે. તેમણે કહ્યું, ‘કેટલીક પ્રજાતિઓનું નામકરણ થાય એ પહેલાં જ તે લુપ્ત થઈ જશે.’ મિર્ઝાના જણાવ્યા અનુસાર જૈવવિવિધતાનાં મુખ્ય સ્થળો પરનો ખતરો વધતી જતી માનવવવસતિ છે. આ ખતરા સાથે સંકળાયેલાં અન્ય તમામ પરિબળો માનવવસતિ સાથે જ સંકળાયેલાં છે. ચા અને કોફીના બગીચા માટે પશ્ચિમ ઘાટનાં જંગલોનું ખેતીલાયક જમીનમાં રૂપાંતર કરવામાં આવે છે. ગામની સીમા વિસ્તરતી રહી છે, જંગલોની વચ્ચેથી વાહનમાર્ગ બનાવવામાં આવે છે. પ્રવાસીઓને આકર્ષવા માટે પણ અવનવાં ગતકડાં કરવામાં આવે છે, જેમાં ઘોંઘાટ અને પ્રદૂષણ સિવાય કશું હોતું નથી. એમાં હવે ભળી છે ફોટોગ્રાફી, જેનો મૂળભૂત આશય શુભ હોવા છતાં તે ઘાતક નીવડી શકે છે.

    હજી જેમની ઓળખ તો શું, જાણ થવી પણ બાકી છે એવી અનેક પ્રજાતિઓ આવા ઘટનાક્રમનો ભોગ બની હશે અને હજી બનતી રહેશે.

    કુદરતે દરેકેદરેક પાસાંનો વિચાર કરેલો છે. પણ માનવે જ્યારથી કુદરતી ક્રમમાં દખલગીરી કરી એ પછી તેણે પોતાની સાથે સાથે અન્ય જીવોનો પણ વિનાશ નોંતર્યો છે. અસ્તન એટલે કે સસ્તન ન હોય એવી શ્રેણીના પ્રાણીઓનો રંગ એકદમ તેજસ્વી હોય છે, જે શિકારી પ્રાણીઓ માટે એક પ્રકારે ચેતવણી છે કે આ જીવ ખાદ્ય નથી. પણ કેમેરાની, સામાજિક નેટવાર્કિંગ માધ્યમ નામના પ્રાણીની ભૂખ અને વૃત્તિની જાણ કુદરતને શી રીતે હોય? એ ભૂખે જ ગેલેક્સી ફ્રોગ જેવી દુર્લભ પ્રજાતિનો ભોગ લીધો.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૫ – ૨– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

    નિસબત

    ચંદુ મહેરિયા

    સર્જાતા સાહિત્યનું આત્મકથા સ્વરૂપ મોટેભાગે આપવીતી, સ્મરણો કે બચાવનામા માટે આલેખાતું હોય છે. ઓશો રજનીશ આત્મકથાને અહંકાર કથા કહેતા હતા. પરંતુ માનવ ઉત્ક્રાંતિના સત્યના શોધક ચાલ્સ ડાર્વિન( (જન્મ- ૧૨મી ફેબ્રુઆરી, ૧૮૦૯, અવસાન- ૧૯મી એપ્રિલ, ૧૮૮૨ )ની આત્મકથા જરા જુદા ઉદ્દેશથી લખાયેલી છે.

    ડાર્વિન લિખિત પચાસ કરતાં વધુ પુસ્તકો તેમની હયાતીમાં જ પ્રકાશિત થયાં છે. પરંતુ તેમણે આત્મકથા પોતાના સંતાનો માટે જ લખી હતી અને પ્રગટ કરી નહોતી. વ્યક્તિગત અને અંતરંગ પ્રકારનું આ આત્મકથ્ય તેમના પુત્ર ફ્રાન્સિસ  ડાર્વિને  તેમના અવસાન પછી સંપાદિત કરી પ્રગટ કર્યું હતું. અવસાનના છ વરસો પૂર્વે ૧૮૭૬માં આ આત્મકથા લખાઈ હતી. તેમાં ડાર્વિનના મન અને વ્યક્તિત્વ વિકાસનું એટલું સરસ આલેખન છે કે ‘ જે વ્યક્તિને ડાર્વિનની આત્મકથાની ખબર નથી તે ડાર્વિન વિશે કશું જાણતો નથી’  એમ કહેવાય છે. મૂળે રી-કલેક્શન્સ ઓફ ડેવલપમેન્ટ ઓફ માય માઈન્ડ શિર્ષકે લખાયેલી અને CHARLES DARWIN’S AUTOBIOGRAPHY[1] ( હિંદી અનુવાદ- ચાલ્સ ડાર્વિન કી આત્મકથા) નામે છ પ્રકરણો અને ૧૦૪ પૃષ્ઠમાં સંપાદિત ડાર્વિનની આત્મકથા સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ છે.

    ડાર્વિને આત્મકથામાં લખ્યું છે તે પ્રમાણે ભણવામાં તેઓ નાની બહેન કરતાં પણ નબળા હતા અને બીજા  અનેક બાળકોની જેમ તોફાની હતા. આઠ વરસની વયે તેમણે માતા ગુમાવ્યા હતા. તેમના પિતા એટલા ધનાઢ્ય હતા કે તેમને ક્યારેય જીવનનિર્વાહ માટે કોઈ કામ-ધંધો કરવો પડ્યો નથી.શાળા શિક્ષણમાં ઠોઠ ડાર્વિનની રુચિ પ્રકૃતિને જાણવામાં તેજ હતી. જીવ-જંતુ, વનસ્પતિ, પશુ-પંખી અને જમીનના સૂક્ષ્મ  અવલોકનો કરવા અને તેની નોંધો કરવી, નિશાનેબાજી અને શિકાર તેમના પ્રિય કામો હતા.પરંતુ પિતાને આ ગમતું નહીં.એટલે પિતાએ એક વાર કહ્યું હતું ” તું ખુદના માટે અને પરિવાર માટે એક કલંક બની રહેશે. ”

    ૧૮૨૮ થી ૧૮૩૧ સુધી ડાર્વિન કેમ્બ્રિજ-એડિનબર્ગમાં ભણતા હતા. પિતા તેમને ડોકટર બનાવવા માંગતા હતા પરંતુ તેમનું ચિત્ત બીજી દિશામાં હતું.એટલે તેમને ધાર્મિક શિક્ષણ અપાવી પાદરી બનાવવા વિચાર્યું. આ માટે ડાર્વિન પણ તૈયાર થઈ ગયા. કોઈ ગ્રામીણ વિસ્તારમાં પાદરીનું કામ કરવાનો વિચાર તેમને ગમ્યો હતો એટલે  તેમણે ધર્મશાસ્ત્રો સંબંધી પુસ્તકો વાંચવા માંડ્યા. આત્મકથામાં ડાર્વિન લખે છે,”  પછીથી કટ્ટરપંથીઓએ (જે રીતે મારા ઊત્ક્રાંતિવાદના સિધ્ધાંતની)  ટીકા કરી તેને જોઈને મને એ વાત ભારે વિચિત્ર લાગી કે મેં કદી પાદરી બનવાનું વિચાર્યું હતું”

    ભૂસ્તરશાસ્ત્ર, પ્રકૃતિ વિજ્ઞાન, જીવશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, તત્વજ્ઞાન અને સાહિત્યમાં ડાર્વિનની રુચિ હતી. તેઓ તેમના રસ-રુચિના વિષયના અભ્યાસ માટે કઠોર પરિશ્રમ કરતા હતા. તેમણે લખ્યું છે કે, ”  કોઈ વ્યક્તિ જેટલો કઠોર પરિશ્રમ કરી શકે છે, મેં એટલો પરિશ્રમ કર્યો છે. આનાથી વધુ પરિશ્રમ કોઈ ન કરી શકે” દુનિયાના સર્વેક્ષણ માટે દરિયાઈ સફરે જતા બીગલ જહાજમાં એક પ્રકૃતિ વિજ્ઞાનના ચાહક તરીકે ડાર્વિનને જગ્યા મળી. અતિ જોખમી અને સાહસપૂર્ણ એવી સમુદ્રી જ્ઞાનયાત્રા લગભગ પાંચ વરસ( ૨૭ ડિસેમ્બર, ૧૮૩૧ થી બીજી ઓકટોબર ૧૮૩૬) ચાલી હતી. સંશોધક ડાર્વિને આ યાત્રામાં ભરપૂર કામ કર્યું. સવા મહિનો ગાલાપાગોસના નિર્જન ટાપુ પર ગાળ્યો. હજારો નમૂના એકઠા કર્યા અને તેથી પણ વધુ હજારો પાનાંની નોંધો તથા ટિપ્પણીઓ તેમણે પ્રવાસ દરમિયાન કરી હતી.

    આત્મકથાના અંતિમ પ્રકરણમાં ડાર્વિને તેમના વિવિધ પુસ્તકો વિશે લખ્યું છે. ” ઓરિજિન ઓફ સ્પીસીઝ”  તેમનું કીર્તિદા પુસ્તક છે. પુસ્તકનું આખું નામ તો લગભગ ૨૫ શબ્દોનું છે. ડાર્વિનને ઉત્ક્રાંતિવાદનો વિચાર કોઈ તેજ ઝબકારની રીતે આવ્યો નહોતો..પરંતુ તેની પાછળ તેમની ૨૦ વરસોની જ્ઞાન અને સંશોધન સાધના  હતી. ૧૮૫૯માં “ઓરિજિન ઓફ સ્પીસીઝ”  પ્રગટ થયું ત્યારે ભારે ખળભળાટ મચ્યો હતો.  માનવ ઉત્ક્રાંતિ અંગેની ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ કરતાં તે જુદા વિચારો ધરાવતું હતું. આ પુસ્તકના લઘુ સંસ્કરણની ૧૨૫૦ નકલો પ્રકાશનના દિવસે જ વેચાઈ ગયાનું ડાર્વિને નોંધ્યું છે. જેમાં ડાર્વિને મનુષ્યના વંશજ તરીકે વાનરને દર્શાવ્યા છે તે પુસ્તક ” ડિસેન્ટ ઓફ મેન” છે. જે ૧૮૭૧માં પ્રગટ થયું હતું. તે પછીના વરસે ” એક્સ્પ્રેશન ઓફ ધ ઈમોશન્સ ઈન મેન એન્ડ એનિમલ” પ્રકાશિત થયું હતું. કોઈ સામાન્ય લેખકની જેમ ડાર્વિન પણ પોતાના પુસ્તકોની કેટલી નકલો વેચાઈ અને તેની કેટલી સમીક્ષાઓ પ્રગટ થઈ તેની નોંધ રાખતા હતા અને આત્મકથામાં તે હરખ –શોક સાથે જણાવે પણ છે.

    ડાર્વિનની તસવીરોમાં તેઓ લાંબી દાઢીધારી અને ગંભીર પ્રકૃતિના જણાય છે. પરંતુ આત્મકથામાંથી પસાર થતાં તેમની ભીતર રહેલું સંવેદનશીલ માનવ હ્રદય દેખાઈ આવે છે. એડિનબર્ગમાં એક સંશોધકના સહાયક તરીકે કામ કરતા બ્લેકનો ઉલ્લેખ તે આદર સાથે કરે છે. આ શ્યામવર્ણી વ્યક્તિ પક્ષીઓની ખાલ ભરીને તેને જીવિત પક્ષીનો આકાર આપી વેચવાનું કામ કરતો હતો. ડાર્વિન તેને પૈસા આપીને તેના જ્ઞાનનો લાભ લેતા હતા.

    જે બીગલ જહાજના કપ્તાન ફિટ્જ-રોયની  કૃપાથી ડાર્વિનને તેમની કેબિનના એક ભાગમાં યાત્રા કરવાનો મોકો મળ્યો હતો તેમણે બીગલ બ્રાઝિલમાં હતું ત્યારે એક વાર વાતચીતમાં ગુલામી પ્રથાની સરાહના અને સમર્થન કર્યુ. ડાર્વિનને ગુલામી પ્રથા સામે વિરોધ અને ઘૃણા હતી. એટલે આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ અને કેપ્ટને ગુલામીના વિરોધની દલીલો કરવા બદલ  ડાર્વિનને લાફો મારી કાઢી મૂક્યા હતા.બાવીસ વરસના યુવાન ડાર્વિને આ અપમાન સહી લીધું પણ ગુલામીનું સમર્થન ન કર્યું. એક મહાન વૈજ્ઞાનિકની આ સામાજિક નિસબત સલામલાયક છે.

    સાહિત્ય , સંગીત, નાટક, કવિતા, વાચન વગેરે તેમના જીવનના ભાગ હતા. જોકે સમય બદલાતાં  તેમની રસરુચિ પણ બદલાઈ હતી. આત્મકથામાં ડાર્વિન પોતાનો મત કે અભિપ્રાય બેઝિઝક આપે છે. જેમકે સ્કૂલી છાત્ર તરીકે શેક્સપિયરના નાટકો તેમને વાંચવા ગમતાં અને આનંદ આપતા હતા પણ ઉમરના  પાછલા પડાવે તેમને શેક્સપિયર વાંચવા અસહ્ય, નિરસ અને ઉબાઉ લાગ્યા હતા. નવલકથાના સુખાંતના તેઓ તરફદાર હતા એટલું જ નહીં નવલકથાના દુખાંત વિરુધ્ધ કાયદો બનાવવો જોઈએ તેમ માને છે. શિકારને તેઓ એક પ્રકારનું  બૌધ્ધિક કાર્ય ગણે છે. શિક્ષણ અને શિક્ષકો વિશે પણ તેમણે આકરી ટીકાઓ કરી છે.

    ” વિજ્ઞાન પ્રત્યે પ્રેમ, કોઈ વિષય પર લાંબા સમય સુધી ચિંતન કરવાનું અસીમ ધૈર્ય, તથ્યોને સંકલિત કરી પ્રેક્ષિત કરવા માટેનો પરિશ્રમ , પર્યાપ્ત કલ્પનાશીલતા અને સહજ બુધ્ધિ” ને ડાર્વિન અતિ નમ્રતા સાથે પોતાની સાધારણ વિશેષતાઓ જણાવે છે. તેમને એ વાતનું  આશ્ચર્ય છે કે ” આટલી સાધારણ વિશેષતાઓ છતાં કેટલીક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ધારણાઓને તેમણે ઘણી હદે પ્રભાવિત કરી છે.”

    ડાર્વિનના જન્મને બસો કરતાં વધુ અને ઊત્ક્રાંતિવાદના સિધ્ધાંતને દોઢસો કરતાં  વધુ વરસો પસાર થઈ ગયા છે. પરંતુ ડાર્વિન અને તેમનો ઉત્ક્રાંતિવાદ વધુને વધુ પ્રસ્તુત છે ત્યારે ગુજરાતના વિજ્ઞાનચાહકો અને અનુવાદકો માટે એ પડકાર છે કે હવે ગાંધી ગિરા ગુજરાતીને વધુ સમય માટે ડાર્વિનની આત્મકથાથી વંચિત ન રાખે.


    [1] The Autobiography of Charles Darwin by Charles Darwin


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • વામા-વિશ્વ – કાગળ વીણવાથી જીનીવાના પોડીયમ સુધી : સુમન મોરે

    આલેખનઃ અનુરાધા દેરાસરી

    ૨૦૨૪ના જૂન મહિનામાં સ્વીઝરલેન્ડના જીનીવા શહેરમાં ૧૦૪મી ઇન્ટરનેશનલ, લેબર કોનફરન્સ ચાલી રહી છે. બે વક્તાના વક્તવ્ય પછી, એક સાદી સાડી, કપાળ પર મોટો ચાંલ્લાવાળી ભારતીય સ્ત્રી, ઇન્ટરનેશનલ પોડીયમ પર પહોંચે છે અને પોતાનું વક્તવ્ય શરૂ કરે તે પહેલા દેશ-વિદેશમાંથી આવેલા ૨૦૦૦ પ્રતિનિધિઓની તાળીથી ઓડીટોરીયમ ગુંજી ઉઠે છે. આ સ્ત્રી ભણેલી નથી પણ તેની શરૂઆત કરે છે. હું તેર વર્ષની હતી ત્યારથી રસ્તા પર કાગળ તેમજ અન્ય ચીજ વીણવાનું કામ કરું છું. આ શબ્દોનું ભાષાંતર અંગ્રેજીમાં થાય છે અને ફરી તાળીઓથી હોલ ગુંજી ઉઠે છે.

    આ, રસ્તા પર કાગળ વીણવા અને અન્ય ચીંથરા વગેરે વીણવાના રસ્તેથી ઇન્ટરનેશનલ પોડીયમ સુધી પહોંચનાર સ્ત્રી, એટલે પૂનાની સુમન મોરે. રેગપીકરસથી લેબર કોનફરન્સ સુધીની તેની જીવનયાત્રા એક અદભૂત પ્રેરણાની મીસાલ છે.

    સ્ત્રી ધારે તો પોતાની નારાયણી શક્તિ કામે લગાડી શું નથી કરી શક્તી? અશક્ય ને પણ તે શક્ય બનાવે છે. સુમન મોરેના માતા-પિતા ધંધાર્થે પૂના આવ્યા. અશિક્ષિત અને નીચલી વરણની વ્યક્તિઓને કોઈ વ્યવસાય ન મળવાથી તેમણે કાગળ, ચીંથરા વગેરે રેગ્સ વીણવાનો ધંધો શરૂ કર્યો. નાની ૧૩ વર્ષની સુમન પણ તેમની સાથે તે ધંધામાં જોડાઈ ૧૧ વર્ષ સુધી સતત કામ કર્યા પછી ૨૨ વર્ષે તેના લગ્ન થયા. પતિ પણ આજ વ્યવસાયમાં હતો તેથી રેગ્સ કાગળ, ચીંથરા વગેરે વીણવાના ધંધામાં મદદે લાગી ગઈ. ચાર બાળકો થતાં, છના કુટુંબ માટે આ કાગળ વીણવાની પ્રવૃત્તિથી મળતા દિવસના ૩૦-૪૦ રૂની આવક ઓછી પડવા માંડી. બાળકો માટે શિક્ષણ તો કલ્પનાની બહારની વસ્તુ હતી.

    આ નીમ્ન કક્ષા ગ્રાસ રૂટ લેવલમાંથી બહાર કેવી રીતે નીકળવું તે સુમન સતત વિચારતી. પોતાના ઉપરાંત પોતાની સાથે કાગળ વીણતી સ્ત્રીઓની દશા જોઇને પણ તે અત્યંત વિચારમાં પડી જતી.

    સુમન મોરે, પોતાની અને અન્ય રેગ્સ પીડરર્સ સ્ત્રી મહિલાઓની વાત કરતાં કહે છે કે, ‘અમારેમ માટે શારિરીક તેમજ સામાજિક અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. સવારે વહેલા રસ્તાઓ ખાલી હોય ત્યારે, કાગળ વગેરે વીણવા નીકળવું પડે, એટલે શિયાળાની સવારે કે અંધારૂ હોય ત્યારે કૂતરા પાછળ પડે. ઘણી બહેનોને કૂતરા કરડી ચૂક્યા છે. જેના ઇન્જેકશન વગેરે લેવા પડે. બીજું ખાસ કરીને અમે જ્યારે રસ્તા પર વીણતા હોઈએ ત્યારે ઘણીવાર ચાલનારા અમને ચોર સમજે એટલે ઘણીવાર અમારે પોલીસ સ્ટેશને પણ જવું પડયું છે. ઉપરાંત આપણા સમાજમાં જ્ઞાાતિવાડા હોવાને લીધે અમારી ન્યાત નીચી ગણી ઘણીવાર અમે અન્ય લોકો દ્વારા હડધૂત પણ થયા છીએ. ઉપરાંત ૯ કલાકથી વધારે કામ કરવા છતાં દૈનિક આજીવિકા ખૂબ ઓછી થતી, આથી હું કંઇક આમાંથી રસ્તો શોધવાના પ્રયાસમાં હતી.

    શીદ્દતથી ચાલનારને હંમેશા રસ્તો મળી જ રહે છે.

    સુમન અને તેમની વસ્તીમાં ણણઁણઁ નામની સંસ્થાના સામાજિક કાર્યકરોને એક્ટીવીસ્ટની અને તેમણે બધો જ કચરો, રેગ્સ વીણનારી બહેનોને આ સંસ્થામાં જોડાવવાનું સૂચન કર્યું. લગભગ બધી બહેનોએ વિરોધ કર્યો, પરંતુ સુમને પોતાની કોઠાસૂઝ કામે લગાડી અને આ સંસ્થામાં જોડાઈ.

    સુમનને સૌથી મોટો ફાયદો એ થયો કે, તેના કામના કલાકો નક્કી થાય. વહેલી શિયાળાની કે ચોમાસાની અંધારી સવારોએ નીકળવાનું વગેરે બંધ થયું. અત્યાર સુધી સુમન રસ્તા પરથી જ લોખંડ, પ્લાસ્ટીક વગેરે કચરો વીણતી અથવા જનરલ ડસ્ટબીનમાંથી વીણતી, કોઈ સોસયટી કે ફ્લેટોની અંદર કેમ્પસમાં અથવા તેમની ડસ્ટબીનો જોવાની પરવાનગી નહતી. આ સંસ્થાને કારણે પ્રાઈવેટ સોસાયટીઓ, બંગલાઓ, ફ્લેટો વગેરેમાં જવાની પરવાનગી મળી. સુમનનો સ્વભાવ ખૂબ સાલસ ને પ્રેમાળ હોવાથી કેટલાક ઘરોમાં બોલચાલનો સંબંધ શરૂ થયો અને તેને ક્યારેક ક્યારેક ચ્હા નાસ્તો પણ મળવા લાગ્યો.

    કામ વધવાથી સુમનને કાગળ, લોખંડ, પ્લાસ્ટીક અને અન્ય રેગ્સની વધુ વસ્તુઓ મળવા લાગી. જે ઘેર આવી બાળકોની મદદથી તે છૂટી પાડતી. જેની કમાણી પણ વધારે થવા લાગી.

    આના પરથી સુમનને વિચાર આવ્યો કે પૂનાની મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વાતચીત કરીએ તો જરૂર વધારે સારી ફલશ્રુતિ મળે. કામ પણ વધારે મળે તેણે બીજી બહેનોને પણ આ વિચારમાં સામેલ કરી. વસ્તીની અન્ય કચરો વીણનાર મહિલાઓએ આ સંસ્થાના લાભાલાભ જોયા આથી તેઓ પૂના મ્યુનિસિપલ કોર્પોરેશનને મળવા તૈયાર થઈ.

    સુમનના નેતૃત્વમાં બધી કચરો વીણનાર બહેનો, પુના મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને મળી તેમણે પોતાની માગણી રજૂ કરી છે. મ્યુનિસીપલ ટ્રકોમાં જે કચરો તેને બદલ તે બહેનોને તે લેવાની પરવાનગી આપવામાં આવે. તેઓ બીજા ખાનગી વેસ્ટ મેનેજમેન્ટવાળી કંપનીઓને પણ મળ્યા. પી.એમ.સી. તેમની માગણીઓને મંજૂર કરી અને બધી બહેનોએ વિસ્તારો વહેંચી લીધાને કામગીરી શરૂ થઈ. તેમના કામને જોઇને, પુને મ્યુનિસિપલ કોર્પોરેશને આ રેગ્સ કામદાર બહેનોને આઈકાર્ડ આવ્યા, ઉપરાંત યુનિફોર્મપણ આપ્યા. આથી આ બહેનોનું કામ ખૂબ સરળ થઇ ગયું.

    તેમના કલાકો પણ નક્કી થયા. તેમને બપોરનાં ચોક્કસ સમયે ખાવાનો ચોક્કસ ટાઈમ મળવા લાગ્યો. આમ આ બહેનો પાસે આઈકાર્ડ અને યુનિફોર્મ આવવાથી લોકો તેમને ઘેર બોલાવી રેગ્સ વગેરે આપવા લાગ્યા. બહેનોને લોકો દ્વારા જે અપમાન થતું હતું તેને બદલે તેમનું માન અને ગૌરવ જળવાવા લાગ્યા. આ પગલું બહેનો માટે ખૂબ આવકાર્ય બન્યું અને તેને લીધે તેમની કામની ઝડપ અને ઉત્સાહ પણ વધ્યો. પૂના મ્યુનિસિપલ કોર્પોરેશન એન કેકેપીકે સંસ્થાએ અને પીએમસીએ આ બહેનોના બાળકોને ભણવા માટે સ્કોલરશીપ આપવા માંડી.

    સુમને પોતાના ચારે બાળકોને શાળામાં ભણવા મૂક્યા. આ અંગે સુમન કહે છે કે : ‘હું ભણી નથી. પણ આજના આધુનિક સમયમાં ભણતર ખૂબ અગત્યનું છે. આથી ટૂંકી આવકમાં અમે એકવાર જમીને પણ બાળકોને શાળામાં મોકલ્યા છે. આજે મારો એક છોકરો જર્નાલીઝમમાં ડબલ ગ્રેજ્યુએટ છે. બીજો દીકરો સી.એ. થયો છે, જ્યારે નાનો દીકરો બીકોમ કરે છે. દીકરી ભણી અને પરણીને સાસરે છે. અન્ય બહેનોના બાળકો પણ ભણે છે. દીકરાની વહુ કોલેજમાં ભણાવે છે.’

    આ ઉપરાંત સરકારે ખાસ વેસ્ટ અને રેગ્સ, કચરા વગેરે માટે શેડ વાળી જુદી જગ્યા આપી છે આથી બહેનો ત્યાં જઈ બધી વસ્તુઓ જુદી પાડે છે, જેમાં તેમની આવક પણ ઘણી વધી છે.

    આમ આજે સુમન મોરેને આ કાગળ વીણવાના વ્યવસાયમાં ૩૭ વર્ષ થયા. તેમના પ્રયત્નો અને આગવી સૂઝને કારણે વસ્તીની બધી જ બહેનો વિકાસ કરી શકે છે. તેમના આ કાર્યને ધ્યાનમાં લઇ એક પ્રકારના સન્માનરૂપે તેમને જીનીવા લેબર કોન્ફરન્સમાં આમંત્રણ આપ્યું, અને ત્યાં સુમનબહેને ખૂબ આત્મવિશ્વાસથી ભાષણ આપ્યું, જેનું દુભાષીયા વ્યક્તિએ અંગ્રેજીમાં રૂપાંતર કર્યું. સુમન મોરે કહે છે કે, આટલી મોટી કોન્ફરન્સ મારે માટે સપનું હતું. સાડી પહેરેલી હું જ એક મહિલા હતી અને નાની ખોલીમાં રહેનારા માટે સતત એસી એ બન્ને વસ્તુઓ ખૂબ આશ્ચર્યજનક હતી.

    ક્લાયમેક્સ હવે આવે છે…

    થરમેક્સ કંપનીના મેનેજીંગ ડીરેકટર અનુ આગા પોતાની શાળાના વાર્ષિક મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે સુમન મોરેને આમંત્રીત કર્યા અને સુમનબહેને બાળકોને સર્ટીફીકેટ આપ્યા.

    અનુ આગા દલીલમાં એટલું જ કહ્યું, ‘વ્યક્તિ તેના કાર્યથી મહાન બને છે નહિ કે જાતિ, વર્ણથી હું મારા બાળકોને આ શીખ આપવા માગું છું માટે કાગળ વીણનાર સુમન મોરે મારા મુખ્ય અતિથિ છે.’

     

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : અશોક વિદ્વાંસ – સેકન્ડ ઇનીંગ્સ [૨]

    પહેલાં આપણે શ્રી અશોક વિદ્વાંસની પહેલી ઇનિંગ્સના સોનગઢના પ્રાથમિક તબક્કાથી અવગત થયાં.
    હવે આગળ…….

    અમદાવાદ – કૉલેજ – અને આગળ

    એ સમયમાં અમદાવાદ ગુજરાતનું પાટનગર અને ખૂબ ધીકતું મહાનગર હતું.  સોનગઢ જેવાં નાનકડાં ગામડાંની સરખામણીમાં તો એ અતિશય મોટું હતું.  દાદાએ (મારા કાકા શ્રી ભાસ્કરરાવ વિદ્વાંસ) નવરંગપુરામાં મોટો બંગલો બંધાવ્યો હતો.  સોનગઢમાં અમે બધે ચાલીને જ જતા, મારા પહેલાં અમદાવાદ આવેલા મારા બંને મોટાભાઈઓ બધે સાઈકલ પર ફરતા.  સોનગઢમાં મારી પાસે પગરખાંની માત્ર એક જોડી હતી, અહીં બધા પાસે ’શૂઝ’ અને ચંપલ બંને હતાં.  સોનગઢમાં મારી પાસે બે કે ત્રણ ભૂરી ચડ્ડી અને ત્રણ કે ચાર સફેદ શર્ટ હતા.  અહીં બધા પાસે પેન્ટ-શર્ટની અનેક જોડ, ઉપરાંત પણ ઘણાં કપડાં હતાં.  અમદાવાદ મારા માટે અનેક રીતે મોટું હતું!

    દાદાનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું.  ત્યાંની પ્રસિદ્ધ ’શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર’ હાઈસ્કૂલમાં વીસ વર્ષથી તેઓ ભૂગોળ-ઇતિહાસ-સમાજશાસ્ત્ર વિષયો શીખવતા હતા.  એક આદર્શ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં તેઓ આદરણીય અને સાથે-સાથે જ પ્રિય હતા.  અમે અમદાવાદ ગયાં અને એક જ અઠવાડિયામાં જ્યારે એક રવિવારે સવારે મુરબ્બી શ્રી ઝીણાભાઈ (સ્નેહરશ્મિ) દેસાઈની સાથે મુ. શ્રી ઉમાશંકરભાઈ જોશી તેમને અને ભાઉને મળવા આવ્યા ત્યારે મને એ હકીકતનું ભાન થયું કે અમદાવાદના ભદ્ર સમાજમાં તેઓ કેવા પ્રતિષ્ઠિત હતા  એમની ઉત્સાહભરી વાતોથી મારા ધ્યાનમાં આવ્યું કે મીઠાનાં સત્યાગ્રહ વખતે દાદા અને ઉમાશંકરભાઈ જેલમાં ચક્કી પીસવામાં સાથી હતા!  કલાકેક વાતો કર્યા પછી ચારે જણા ઝીણાભાઈની ગાડીમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીને મળવા ગયા.  વળી એ પછીની એક સાંજે ’આર. આર. શેઠ’વાળા શ્રી ભગતભાઈ (હા, મારો ગુરુકુળનો સહપાઠી ભગત) એ સમયના ગુજરાતીના પ્રખ્યાત વાર્તાકાર શ્રી ઇશ્વર પેટલીકરને લઈ ભાઉને મળવા આવ્યા.  પછી તો જેને ’જ્ઞાન-ચર્ચા’ કહી શકાય એવી વાતો અમારા જ ઘરમાં મને અવારનવાર સાંભળવા મળી.  ’ટાઇમ્સ ઑફ ઇન્ડીયા’ તો રોજ, અને ક્યારેક ’લંડન ટાઇમ્સ’ પણ મને અમારા ઘરમાં જોવાની ટેવ પડી.  અચાનક હું ખાબોચિયામાંથી મોટા સરોવરમાં આવી ગયો હતો.  એ દિવસોમામ દાદા ગુજરાતના અને ભારતના ઍટલાસ માટે નકશા તૈયાર કરવામાં વ્યસ્ત હતા.  એ જ સમયમાં ચીને ભારત પર આક્રમણ કર્યું અને અમદાવાદમાં અનેક જગ્યાએ એ ઘટના અંગે દાદાએ દીર્ઘ વ્યાખ્યાન આપ્યા.  ૧૯૬૩માં દાદા નિવૃત્ત થયા એ સમયે ઝીણાભાઇએ, ત્યારના ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય મહેતાએ દાદા વિષે, તેમ જ દાદાએ પોતે શિક્ષકની નિષ્ઠા વિષે આપેલાં વક્તવ્ય અતિશય મનનીય હતાં.  પછીના પાંચ વર્ષ હું દાદાના સાંનિધ્યમાં રહ્યો એને કારણે મારા ચારિત્ર્યને એક વધુ ઉજળો વળાંક મળ્યો.

    જૂન મહિનાની શરૂઆતમાં અમારું એસ.એસ.સી.નું પરિણામ જાહેર થયું અને હું સરસ માર્ક્સ સાથે પાસ થયો.  વડીલોની સલાહ પ્રમાણે મારે આગળ સાયન્સ અને પછી ઍન્જિનીઅરીંગ કૉલેજમાં ભણવું એમ નક્કી થયું, અને હું એમ. જી. સાયન્સ ઇન્સ્ટીટ્યુટમાં દાખલ થયો.  મારે સાયન્સ વિદ્યાશાખામાં ભણવું અને ઍન્જિનીઅર બનવું; કે ’આર્ટ્સ’ કૉલેજમાં જઈ અંગ્રેજી-સાહિત્ય, અર્થશાસ્ત્ર, કે તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવો? એ ખરેખર તો મારા ભવિષ્યનો માર્ગ નક્કી કરવાની વાત હતી.  પણ વક્રોક્તિ એ હતી કે આવો અગત્યનો નિર્ણય લેવા માટે મારી પાસે બહુ જૂજવી માહિતી હતી  મને લાગે છે એ દિવસોમાં આમ જ થતું હતું.  જેનાં ભવિષ્યનો સવાલ હોય – પછી એ અભ્યાસ અને કારકીર્દી પસંદ કરવાની વાત હોય કે લગ્નસાથીની પસંદગી કરવાની હોય – એ વ્યક્તિને ભાગ્યે જ નિશ્ચિત મત હતો.  આપણી સમાજવ્યવસ્થા એવી હતી કે કિશોરવયમાં વ્યક્તિ પોતા વિષે કોઇ મહત્વનો નિર્ણય લઈ શકે એવી તાલીમ એને ભાગ્યે જ મળતી.  એવો નિર્ણય કોઇ લે અને એ ખોટો નીવડે તો એને બદલી કે સુધારી શકાય એવી સવલત પણ ન હતી.  આવા સંદર્ભમાં વ્યક્તિસ્વાતંત્ર્ય એટલે શું એ અમેરિકા આવ્યો પછી જ મને સમજાયું.  ખેર, હું સાયન્સ કૉલેજમાં દાખલ થયો.  પહેલે જ દિવસે હું જે બેન્ચ પર બેઠો હતો ત્યાં જ મારી બાજુમાં એક ગોરો, રૂપાળો, અને નિખાલસ સ્મિત ધરાવતો યુવાન આવીને બેઠો.  અમે એકબીજાનાં નામ પૂછ્યાં અને તે દિવસે મારી ’ભરત કામદાર’ સાથે ઓળખાણ થઈ.  આજે એ વાતને ૬૦ ઉપર વર્ષ વીતી ગયાં છે અને અમે બંને ’દાદા’ બન્યા છીએ.  તે દિવસથી આજ સુધી ભરત ઉર્ફે ’નાનુ’ મારો જીગરજાન મિત્ર રહ્યો છે.  સાયન્સ કૉલેજમાં પણ મારો અભ્યાસ સરળતાથી અને સફળતા સાથે થયો, પરિણામે બે વર્ષ પછી મને અમદાવાદની (ત્યારે) એકમાત્ર એન્જિનીઅરીંગ કૉલેજમાં, મારી પસંદગીના ’મિકૅનિકલ’ વિભાગમાં સહેલાઈથી પ્રવેશ મળ્યો.  ખાસ વાત એટલે આ વખતે એ મારી પસંદગી હતી.  કિશોરવય વટાવી હવે હું યુવાન થયો હતો.

    એન્જિનીઅરીંગ કૉલેજના ત્રણ વર્ષ પણ સરસ પસાર થયા.  બીજા વર્ષની અમારી પરીક્ષાનું પરિણામ ખૂબ કડક આવ્યું અને માત્ર ૧૧% વિદ્યાર્થીઓ જ પાસ થયા.  એ ૧૧%માં હું પણ હતો એ મારે મન આનંદ અને અભિમાનની વાત હતી.  નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ હડતાળ પાડી.  આખરે સત્તાધારીઓએ પરિણામ બદલી વધુ વિદ્યાર્થીઓને ’પાસ’ જાહેર કર્યા અને અમારું નવું સત્ર શરૂ થયું!  પણ હવે અમે બધા જ પુખ્ત થયા હતા અને અમારા મિત્ર વર્તુળમાં ’આ હડતાળ યોગ્ય હતી કે અયોગ્ય?’ એ પ્રશ્ન પર ઘણી ચર્ચા થયેલી.  મહત્ત્વના પ્રશ્નનો સર્વાંગી વિચાર કરવા અમે હવે તૈયાર થયા હતા.  એ સમય દરમિયાન શિશિરભાઈ અને ઇલાભાભીએ પ્રેમલગ્ન કરવાનો નિર્ણય જાહેર કર્યો.  એ આંતરજાતીય લગ્ન હતું અને અમારા ઘરમાં એની ચર્ચા થઈ.  એ વિષે મેં જ્યારે આઈને પૂછ્યું કે એમનો શું મત છે?  ત્યારે એક સરળ સ્વભાવની પ્રેમાળ માતા જ આપી શકે એવો એમનો જવાબ હતો, “મારો શિશિર સુખી તો હું સુખી.”  ખૂબ ધામધૂમથી એ લગ્ન ઉજવવામાં આવ્યાં.  એ જ વર્ષે ભરતભાઈ ’ગ્રેજ્યુએટ’ થયા અને બૅંકમાં કામે લાગ્યા.  બીજી બાજુ એ દિવસોમાં જ ભાઉને ’માઈલ્ડ હાર્ટ ઍટૅક’ આવી ગયો, પણ એમાંથી તેઓ ઝટ સાજા થયા અને અગાઉના જ મનોબળ સાથે પાછું પોતાનું અનુવાદનું કામ કરવા માંડ્યા.  આ બધા સાથે ૧૯૬૫ના જુન મહિનામાં હું બી.ઈ. મિકૅનિકલ થયો.  જિંદગીનો એક અગત્યનો તબક્કો મેં ગાંઠ્યો હતો.  પોતાના પગપર ઊભો રહેવા હવે હું સજ્જ થયો હતો અને તત્પર હતો.

    જીવનમાં મિત્રોની બાબતમાં હું ખૂબ નસીબદાર રહ્યો છું.  દરેક તબક્કે મને હોંશિયાર, પ્રામાણિક અને હિતેચ્છુ મિત્રો સતત મળતા રહ્યા છે.  અમે ત્રણે શાળામાં હતા ત્યારથી જ રીટા અને દેવરાજ મારા ઘનિષ્ટ મિત્ર થયા હતા. ઍન્જિનીઅરીંગના અભ્યાસ દરમિયાન મને ભરત કામદારમાં એવો જ આજન્મ-મિત્ર મળ્યો.  એની અને પંકજ કોઠારીની મૈત્રી થઈ એ મારા જીવનની મોટી મૂડી છે.

    ૧૯૬૦ના દાયકામાં પોતાની પસંદગીના ક્ષેત્રમાં સારા માર્ક્સ સાથે સ્નાતકની ડીગ્રી મેળવનારા યુવાનો અને યુવતીઓ જો આર્થિક રીતે પરવડતું હોય તો વધુ અભ્યાસ અને પ્રગતિ માટે અમેરિકા જતાં.  મારી બાબતમાં દાદા કે ભાઉના પૈસા ન વાપરતાં એમ કરવું લગભગ અશક્ય હતું, અને એમની પાસે પૈસા માગવાની મારી ઇચ્છા ન હતી.  એટલે ઍન્જિનીઅર થયા પછી તરત ભારતમાં જ કામે લાગવું એમ મેં ઠરાવ્યું; અને સાથે એમ પણ ઠરાવ્યું કે અમદાવાદમાં દાદાની ઘણી ઓળખાણ હોવા છતાં બને ત્યાં સુધી નોકરી મારા પોતાના પ્રયત્ન વડે જ મેળવવી અને હવે ઘરમાંથી બહાર નીકળી સ્વતંત્ર જીવન શરૂ કરવું.  હું સંતોષપૂર્વક કહી શકુ છું કે એ પછી મેં જે જે નોકરી મેળવી એ બધી મારા પ્રયત્નોથી જ મેળવી.

    ૧૯૬૫માં બી.ઈ. થયો ને મેં વડોદરામાં એક સ્ટીલ રોલિંગ મિલમાં પહેલી નોકરી મેળવી.  એ કંપનીના માલિક સરદારજી હતા એટલે ત્યાં કામ કરનારા મોટાભાગના માણસો પણ સરદારજી હતા.  ત્યાં એક ગુરુદ્વારા હતું જ્યાં રોજ સવારે ’કડા પ્રશાદ’ એટલે ભરપુર ઘીમાં બનાવેલો શીરો મળતો.  દિવસ શરૂ કરવાની આ પ્રથા મને બહુ ગમી!  જ્યાં ૩૦૦ માણસો કામ કરતા હતા એ મિલમાં એકમાત્ર હું જ ’ભણેલો’ ઍન્જિનીઅર હતો.  ત્યાં મને ૧) અન્યની મદદ સિવાય મહત્વની ટૅકનિકલ બાબતોના નિર્ણય કેમ લેવા તે: ૨) સરદાર કોમની શિસ્ત અને મહેનતુપણું; તથા ૩) શીખ ધર્મની થોડી માહિતી; એમ ત્રણ નવી વાતો શીખવા મળી.  વડોદરામાં મને એક વધુ ’અચ્છો’ મિત્ર જનાર્દન ઉર્ફે જે. સી. શુક્લ મળ્યો   એની પાસેથી મને ઘણું બધું મળ્યા જ કર્યું છે.  એ ચાર વર્ષ દરમિયાન ’યંગસ્ટર્સ કૉર્નર’ નામની, મારા જેવા તરુણોની એક સંસ્થાનો હું સક્રિય સભ્ય હતો.  એ સમયમાં શ્રી ભોગીલાલ ગાંધી નામના એક પ્રેમાળ અને માત્ર વયોવૃદ્ધ જ નહીં પણ સાચા અર્થમાં જ્ઞાનવૃદ્ધ વડીલ સાથે મારે ઓળખાણ થઈ.  એમની પાસેથી ’સમાજવાદ’ તથા ’સામ્યવાદ’ વિચારધારાના મૂળ સિદ્ધાંત તથા સામ્યવાદનાં ભયસ્થાન વિષે હું ઠીક-ઠીક માહિતગાર થયો.  વડોદરાના એ ચાર વર્ષ ખૂબ સરસ પસાર થયા.  પણ પછી મને ખ્યાલ આવ્યો કે સરદારજીની રોલિંગ મીલમાં મારા માટે વધુ પ્રગતિની શક્યતા ન હતી.

    વડોદરા છોડી હું દૂર દુર્ગાપુર, ’વેસ્ટ બેંગાલ’માં એક ખૂબ મોટા સ્ટીલ પ્લાંટમાં જોડાયો.  કાચી ધાતુ (ખનિજ) શુદ્ધ કરી એમાંથી લોખંડ (પોલાદ) અને પછી એમાંથી માણસને ઉપયોગી વસ્તુઓ બનાવવાની એ એક અતિવિશાળ ફૅક્ટરી હતી.  ત્યાં ૩૦,૦૦૦ માણસો કામ કરતા હતા અને એમાં મારાથી ખૂબ વધારે ભણેલા અને અતિશય હોશિયાર અસંખ્ય ઍન્જિનીઅર હતા.  સ્ટીલ ટૅક્નોલોજીનું એ ’મક્કા’ હતું.  એ ક્ષેત્રનું જ્ઞાન મેળવવા માટે એ અમૂલ્ય તક હતી અને મેં ઉત્સાહથી એનો પૂરો લાભ લીધો.  ખૂબ ગરમ કરવાથી લોખંડ પણ પીગળીને પ્રવાહી બને છે એ ત્યાં મેં પહેલીવાર જોયું.  ત્યાંના મારા ઉપરી અમિતવ દાસગુપ્તા એક અદ્‍ભૂત માણસ હતા.  માત્ર કામ અંગેની જ વાતો નહીં પણ એમના પાસેથી જે ’માણસાઈ’ના પાઠ હું શીખ્યો એ બદ્દલ આજે પણ મને તેઓ યાદ છે.  માણસ જિંદગીમાં ક્યાં-ક્યાંથી કેટલું બધું શીખતો હોય છે!  દુર્ગાપુરમાં રહેવાના મને ઘણાં લાભ મળ્યા.  દૂધ ફાડીને બનાવેલી બંગાળી મીઠાઈની મજા ચાખવા મળી.  હું બંગાળી ભાષા બોલતાં અને લખતાં શીખ્યો, બંગાળી છાપાં વાંચતો અને બંગાળી ફિલ્મ જોતો થયો.  ત્યારે જોયેલી સત્યજીત રેની ’પ્રોતિદોંદી’ અને ’ચારુલતા’ ફિલ્મ મને આજે પણ યાદ છે.  મૃણાલ સેન અને બાસુ ભટ્ટાચાર્ય જેવા નામાંકિત દિગ્દર્શકોએ સર્જેલી ફિલ્મ પણ એ દિવસોમાં જ જોઇ.  એકવાર અમે મિત્રો ટેક્સી કરી શાંતિનિકેતનની એક દિવસની મુલાકાતે પણ જઈ આવ્યા.  જો કે તીર્થક્ષેત્ર કહી શકાય એવી જગ્યાની માત્ર એક દિવસની મુલાકાત તો શું ન્યાય આપી શકે?  પણ દુર્ગાપુર નિવાસ દરમિયાન બંગાળી સંસ્કૃતિનો ભલે ટૂંકો, પણ પરિચય કરી લેવાની તક મળી એનો આનંદ છે.

    આ વર્ષોમાં અમારા કુટુંબમાં ત્રણ-ચાર વાત બની.  ભરતભાઈ અને નીલાભાભીનાં, તથા શોભાબેન અને શશિકાન્તનાં સમયાનુસાર લગ્ન થયાં; અને શિશિરભાઈ તથા ભાભી બે વર્ષના મૌલિનને લઈ ૧૯૬૮માં કાયમ માટે અમેરિકા ગયાં.

    દુર્ગાપુરમાં હતો ત્યારે જ મારા જીવનમાં એક નવું સુંદર, સુખકારી પ્રકરણ શરૂ થવાનું હતું.


    ક્રમશઃ

     

  • ઇશ્વરના ઇ મેઇલ – ૨૧

    એકલો જાને રે..

    નીલમ  હરીશ દોશી

    ગમતું તુ બેસવું, પણ લાગ્યું વસમું, કીધું મેં નાથ, હવે જાઉં ?
    કાં ? એક બાજુમાં સુવાવડી વહુને સમજાવી રાબ જરા પાંઉ
    ને સામી શેરીની મંદિરની ટેકવાળી આંધળી ડોશીને દોરું..

    મુકુન્દરાય પારાશર્ય


    પ્રિય દોસ્ત,

    મને તારી એક વાત જરા પણ નથી ગમતી.તને ઘણી વાર સારી વાત, સારું કામ કરવાની ઇચ્છા જાગે છે. પણ થોડી વારમાં તું જાતે જ બહાનું શોધી કાઢે છે કે મારા એકલાથી શું વળવાનું ? હું એકલો એમાં  શું ફરક કરી શકવાનો ?  આવી કોઇ દલીલ જાત સાથે કરીને છટકબારી શોધી લે છે. અને પછી નિષ્ક્રિય બનીને બેસી જાય છે.દોસ્ત, તારી આ વાત સાથે હું જરા પણ સંમત નથી.

    દોસ્ત, જરા શાંતિથી વિચાર.  તારી જેમ દરેક વ્યક્તિ આવી દલીલ કરીને નિષ્ક્રિય બનીને બેસી રહે તો ? એક એક વ્યક્તિ મળીને જ સમાજનું નિર્માણ થાય છે ને ? દરેક વ્યક્તિ પોતાનું આંગણું સાફ કરી નાખે તો આખી શેરી આપોઆપ સાફ થઇ જાય ને ? દોસ્ત, અન્ય કોઇ શું કરે છે એની ચિંતા કર્યા સિવાય એટલીસ્ટ તું તારી જાતને તો પ્રામાણિક્તાથી સુધારી શકે ને ?

    હું એકલો શુ  કરી શકું એ બધી વાંઝણી વાતો છે. મનને છેતરવાની છટકબારીઓ છે.

    ધૂળમાં આળોટીને એક ચપટી ધૂળ રામના સેતુબંધમાં ઠાલવતી ખિસકોલીની વાત તું કેવી ભાવથી કહેતો કે વાંચતો ફરે છે ?  કે પછી જટાયુની વાતથી પણ તું કયાં અજાણ છે ? રાવણની શક્તિથી તે અજાણ નહોતો જ. પોતે હારવાનો જ હતો એની પણ તેને જાણ હતી. પરંતુ પોતાના દેખતા કોઇ સીતાજીને લઇ જાય એ તેને સ્વીકાર્ય નહોતું. અધર્મ સામે લડવું એ તેનો ધર્મ હતો, તેનું કર્તવ્ય હતું.પરિણામની પરવા કરવા તે નહોતો રોકાયો. દોસ્ત, સમજાય છે તને મારી વાત ? મારા એકલાથી કંઇ ન થઇ શકે.આવું વિચારીને તારા કર્તવ્યમાંથી છટકી ન શકાય.દોસ્ત્, તને, મારા પરમ  સર્જનને  એ ન શોભે.

    તું તારા  રોજિંદા જીવનમાં શકય તેટલી શુચિતા, પ્રામાણિકતા, કર્તવ્ય નિષ્ઠા લાવી શકે .રોક એકાદ નાનકડું પણ સારું કાર્ય તારે હાથે થાય એ જ મારો રાજીપો, એ  જ મારી ઇચ્છા, એ જ મારી પૂજા. રોજ એકાદ વ્યક્તિને નિસ્વાર્થભાવે કોઇ નાનકડી મદદ તું ન કરી શકે ? કોઇ એકાદ અ ચહેરા પર તું નાનકડું સ્મિત ન લાવી શકે..? તારી પાસે મારી આટલી  અપેક્ષા કંઇ વધારે પડતી કહેવાય ?

    દોસ્ત, મારી આટલી આશા પણ પૂરી નહીં થાય ?  મારી મૈત્રી માટે તું આટલું પણ ન કરી શકે ?

    લિ. તારો મિત્ર ઇશ્વર..

    પ્રાર્થના એટલે ઇશ્વર સાથે વાર્તાલાપ કરવાનો વાયરલેસ વ્યવહાર

    જીવનનો હકાર.

    ગ્રન્થિથી મુકત કરે તે સાચો ગ્રન્થ.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન

    નિસબત

    ચંદુ મહેરિયા

    પત્રકારત્વના વિદ્યાર્થીઓને સમાચારની વ્યાખ્યા સમજાવતા એવું કહેવામાં આવે છે કે કૂતરું માણસને કરડે તે સમાચાર નથી પરંતુ માણસ કૂતરાને કરડે તે સમાચાર છે. જોકે આજકાલ તો કૂતરાં માણસને કરડે છે તે સમાચારો અખબારોસહિતના માધ્યમોમાં છવાયેલા છે. માણસને કૂતરાં કરડે છે તે એટલી મોટી સમસ્યા અને સમાચાર છે કે તેની સુનાવણી દેશની સર્વોચ્ચ અદાલતમાં થઈ રહી છે! સુપ્રીમ કોર્ટની જે બેન્ચ આ બાબતની સુનાવણી કરી રહી છે તેના એક સભ્ય જસ્ટિસ વિક્રમનાથનું કહેવું છે કે વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે મને જેટલી પ્રસિધ્ધિ નથી મળી એટલી આ કૂતરાની સુનાવણીના જજ તરીકે મળી છે! એટલે માણસ કૂતરાને કરડે તે જ સમાચાર અસામાન્ય નથી પણ કૂતરું માણસને કરડે અને તે અંગે સુપ્રીમ કોર્ટના જજો સુનાવણી કરે તે પણ અસામાન્ય સમાચાર છે.

    ડીજેના ઘોંઘાટથી આપણે સૌ ત્રાહિમામ છીએ પરંતુ તેને અટકાવવા કે તેના વિરોધમાં ભાગ્યે જ કશુંક કરીએ છીએ. આપણે ડીજેના હેવાયા થઈ ગયા છીએ પણ જાનવરોનું એવું નથી. ૨૦૨૫ની અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં ડીજેના અવાજોથી રથયાત્રામાં સામેલ હાથીઓ એટલા ડિસ્ટર્બ થઈ ગયા હતા કે તે ભીડમાં જ રુમલાયા હતા પરિણામે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.ઝાલોદ રોડ પર છૂટ્ટા ચરતા ૫૫ જેટલા ગધેડા નજીકની રેલીના ડીજે પરના ધમાકેદાર સંગીતથી ભડકીને ભાગ્યા હતા. બે મહિના સુધી શોધખોળ કરી પણ ગધેડા મળ્યા નહીં એટલે દાહોદ પોલીસમાં ફરિયાદ થઈ હતી.

    ઘણા ડિગ્રી વગરના નકલી ડોકટરના દવાખાના ડોકટરોની અછતના લીધે ધમધોકાર ચાલે છે. સરકાર ક્યારેક તપાસ કરે છે અને નકલી ડોકટરોને પકડે છે. જામનગર તાલુકાના દરેડ ગામે પકડાયેલા બોગસ મહિલા તબીબનું નામ  બોઘીબહેન હતું. નામ ભલે બોઘી હતું પણ તેમનું કામ અક્કલવાળું હતું નહીં? અમેરિકાની ઓનલાઈન ફિટનેસ બેન્ક ગ્રાહકોને તેમની બચત અને રોકાણ પર તે રોજ કેટલાં ડગલાં ચાલે છે અને કઈ ફિટનેસ પ્રવૃતિઓ કરે છે તેના આધારે વ્યાજ આપે છે. રસ્તા વચ્ચે બેસતી ગાયોથી આપણે પરેશાન છીએ. ગાયોના શરીર પર માખી કે બીજા જીવજંતુ બેસે છે તે વાહનોની અવરજવરથી લાગતા પવનથી ઉડી જાય છે એટલે તે રસ્તા વચ્ચે બેસે છે. હવે જાપાનના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જો ગાયોના શરીર પર ઝેબ્રા જેવા પટ્ટા રંગવામાં આવે તો તેને કારણે ગાયોને માખીઓના ત્રાસમાંથી મુક્તિ મળશે અને રાહદારીઓ તથા વાહનચાલકોને રાહત થશે.

    રાજધાની દિલ્હીનું એક દંપતી નવી કાર ખરીદવા શોરૂમ પર ગયુ. તેમણે મહિન્દ્રા થાર ખરીદી  હતી. કારની ચાવી દંપતીને સોંપવામાં આવી પછી તેમણે નવી કારની પૂજા કરી અંતે કારનું પૈડું લીંબુ નીચે ચઢાવવાની વિધિ માટે તેમણે એક્સિલેટર દબાવ્યું અને કાર શોરૂમના કાચ તોડી પહેલા માળેથી પાંચ ફૂટ નીચે પટકાઈ હતી. તેમાં નવી કારના મહિલા માલિક અને શોરૂમના કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા.

    લગ્નોના સમાચારો એટલા તો મસાલેદાર હોય છે કે તેમાં કશું સામાન્ય હોતું જ નથી. ઉત્તરપ્રદેશના એક ગામમાં લગ્નની પહેલી રાત્રે જ વરરાજા ગુમ થઈ ગયા હતા. સુહાગરાતે સુહાગ ગાયબ થઈ જવાથી ધમાચકડી મચી ગઈ. ત્રણ દિવસ બાદ તેમનો હરિદ્વારથી પત્તો મળ્યો. વરરાજાનું કહેવું હતું કે તેઓ સુહાગરાતે બહુ બેચેની અનુભવતા હતા એટલે ગુમ થઈ ગયા હતા. કેવા મજાના સમાચાર છે નહીં? લગ્નની તારીખ નક્કી હતી અને બે દિવસ પહેલાં વરરાજાનો પગ તૂટ્યો, પગે પ્લાસ્ટર આવ્યું. પગમાં પ્લાસ્ટર સાથે વરરાજા હોસ્પિટલના બેડ પર સૂતા હતા અને કન્યાએ સાત ફેરા લીધા. હોસ્પિટલનો વોર્ડ ઘડીવાર માટે તો લગ્ન સ્થળ બની ગયો હતો.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    એક પુત્રના બાપે  ત્રણ વરસના લગ્ન જીવન પછી ટ્રાન્સજેન્ડર બનવા છૂટાછેડા માંગ્યાની વિચિત્ર ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બની હતી. કર્ણાટકના બેંગલુરુના બિરાદર કેડી છૂટાછેડાથી  એટલા તો ખુશ થયા કે તેમણે દૂધથી સ્નાન કર્યું હતું. ઉપરાંત હેપી ડિવોર્સ લખેલી કેક કાપી હતી. યુપીના બરેલીની ફેમિલી કોર્ટના જજસાહેબે ડિવોર્સના કેસની સુનાવણીમાં જે મહિલાને સાસુસસરા ગમતા નથી અને એકલો પતિ કે વિભક્ત કુટુંબ ગમે છે તેમણે તેમના બાયોડેટામાં જ સાસુસસરા કે સંયુક્ત કુટુંબ વગરનું ઘર જોઈએ છે તેમ લખવાની સલાહ આપી હતી. છત્તીસગઢની આદિવાસી પરંપરા મુજબ જો આદિવાસી કન્યા બિનઅદિવાસીને પરણે તો જમાઈએ બકરાં-મરઘાં ભાત ખવડાવવો પડે. એક જમાઈએ તેનું પાલન ન કરતા ૫૦૦ આદિવાસીઓ તેમના ઘરે ધામા નાંખીને બેસી ગયા હતા.

    કેરળના સબરીમાલા મંદિરના ગોલ્ડ કૌભાંડનું એક પાસું એ પણ છે કે મંદિરના ગર્ભગૃહને સોનાથી મઢવા દાન કરનારા દાતાશ્રી કોઈ કાયમી આવક જ ધરાવતા નથી! સોમનાથ મંદિરના પૂજારીને દૈનિક પૂજામાં બેદરકારી બદલ ૧૯૯૧માં સસ્પેન્ડ કરવામાં  આવ્યા હતા.. આ બાબત કોર્ટકચેરી થઈ અને ૨૪ વરસ તપાસ ચાલી અંતે લેબર કોર્ટ અને હાઈકોર્ટે પૂરતા પુરાવાના ભાવે પૂજારીનું સસ્પેન્શનની રદ કર્યું તથા  આઠ લાખ વળતર અપાવ્યું હતું.

    મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની એક મહિલાને  રોજના સાઠ- સિત્તેર રોટલા ઝાપટી જવાની બીમારી  છે. બ્રિટનના યોર્કશાયરની કિશોરી સોળ વરસે સાઠ વરસની દાદી જેવી લાગવાની દુર્લભ બીમારીનો ભોગ બનેલી છે. પુડુચેરીની અન્ડર -૧૯ ટીમમાં સમાવેશ ન થવાથી ગુસ્સે થયેલા ખેલાડીઓએ તેમના કોચ પર શરીરે બે ડઝન ટાંકા આવે અને ખભો તૂટી જાય તેવો હુમલો કર્યો હતો.એક ગુરુને  અનેક શિષ્યો હોય એવું તો સાંભળ્યું છે પરંતુ અનેક ગુરુઓ ચેલાઓની પ્રતીક્ષામાં પગાર મેળવતા હોવાનું સાંભળ્યું છે કદી?  ભારતની લોકસભામાં લેખિત જવાબમાં કહેવાયું છે કે દેશમાં ૫૧૪૯ શાળાઓમાં  એક પણ વિધ્યાર્થી નથી પરંતુ ૧.૪૪ લાખ શિક્ષકો આ શાળાઓમાં ફરજ બજાવે છે.

    ઓસ્ટ્રેલિયામાં વિદેશી મુસાફરોને વિમાનમાં ફૂલો અને પાંદડા લાવવા માટે પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. કેરળના અભિનેત્રી નવ્યા નાયર ૧૫ સેમીનો ચમેલીનો ગજરો લઈને પ્રવાસ કરતાં તેમને નિયમ ભંગ બદલ રૂ. ૧.૧૪ લાખનો દંડ થયો હતો.

    જગત જમાદાર એવા મેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિના નોબેલ માટે પોતાને હકદાર માનતા હતા. ૨૦૨૫ના વરસમાં ૯૪ સંસ્થાઓ અને ૨૨૪ વ્યક્તિઓ શાંતિના નોબેલ માટે નામાંકિત હતા.પરંતુ તેમાં શ્રીમાન ટ્રમ્પનું નામ નહોતું.એટલે તેમણે બીજાનું નોબેલ પોતાને નામે ટ્રાન્સફર કરાવી લીધું. આમેય રાજકારણ અને રાજકારણીઓના સમાચારો માણસ કૂતરાને કરડે તેવા જ હોય છે. તેમાં ટ્રમ્પ મહાશય શિરમોર છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મહાશ્વેતાદેવી: વંચિતોની કલમ, શતાબ્દી નમન

    તવારીખની તેજછાયા

    અરણ્યનો અધિકાર                              અરણ્યેર અધિકાર

    પ્રકાશ ન. શાહ

    થોડાં અઠવાડિયાં પર જાણ્યું કે મહાશ્વેતાદેવી કૃત ‘અરણ્યનો અધિકાર’ ચાર દાયકાથીયે વધુ અંતરાલ પછી ગુજરાતમાં પુનઃ સુલભ થયું છે. આનું નામ જોગાનુજોગ: ‘અરણ્યનો અધિકાર’ના નાયક બિરસા મુંડાની સાર્ધ શતાબ્દીનો માહોલ છે. ૧૮૭૫ના નવેમ્બરમાં એ જન્મ્યા અને ૧૯૦૦ના જૂનમાં આખા ૨૫ વરસનું યશસ્વી આયુષ્ય વીતાવી એ વીરમૃત્યુને વર્યા: આદિવાસી ઓળખ અને અધિકારનો અલખ જગવીને. ૧૭૫૭, ૧૮૫૭, ૧૯૪૭ એવા મેગા નેરેટિવમાં અને મોટી દઈત સામસામી જમાવટોના ઇતિહાસલેખનમાં આપણે ઝારખંડના બિરસા કે ઓખા પંથકના માણેક આસપાસની વીરગાથાઓ વિસારે પાડીને ચાલીએ છીએ.

    જોકે હવે સદભાગ્યે કથિતપણે છેવાડાનાં પાત્રો અને એમની કારકિર્દી આપણી સામે આવી રહી છે. આ વાત શક્ય બની તેમાં ઇતિહાસના અભ્યાસીઓનો, ચાલુ રાજકારણથી ઊંચે ઊઠી શકતા જાહેર જીવનના જણનો આપણે પાડ માનવો જોઈએ અને મહાશ્વેતાદેવી જેવા સર્જકોનો પણ, જેમણે અપરિચિતોને ઓળખી બતાવ્યા… અને હવે, આરંભે કીધેલ જોગાનુજોગ બાબતે લગાર ફોડ પાડું? આ મહાશ્વેતાદેવીનું શતાબ્દી વર્ષ પણ છે (જાન્યુઆરી ૧૪, ૧૯૨૬ : જુલાઈ ૨૮, ૨૦૨૬).

    સર્જક મહાશ્વેતાદેવીની એક મોટી સેવા એમણે આપણને આદિવાસીઓથી માંડી કથિત ડીએનટી જાતિઓ સહિત અણપ્રીછ્યા તબકાને ઓળખતા ને ચાહતા કર્યા એ લેખાશે. મહાનગરોમાં ઘોલકાતી જિંદગી બસર કરતા ચાલવાસી હોય કે કોલસાની ખાણોમાં રવરવતા શ્રમજીવી, એમના જીવન પરિચય પોતાની પ્રતિબદ્ધ કલમચર્યાએ કરાવતા પિતા મનીષ ઘટક (હાજી, એ જ ઘરાણું, જે જમાતજુદેરા ફિલ્મકાર ઋત્વિક ઘટકનું પણ) અને પર્લ બર્કને બાંગલાવગાં કરતી માતા ધરિત્રીદેવીનું આ સંતાન- એટલે મુખ્ય પ્રવાહની બહાર જવાની ને હાંસિયાજીવી સમુદાયો સાથે કથિત મુખ્ય પ્રવાહને મુખોમુખ કરવાની એને ક્યાંથી નવાઈ હોય.

    બને કે મોટા ભાગના ગુજરાતને મહાશ્વેતાદેવીનો પ્રારંભિક પરિચય કદાચ ‘રુદાલી’ જેવી ફિલ્મથી થયો હોય. મારી પ્રારંભિક સાંભરણ જેમ એમના થકી બંધાયેલા મુંડા-માયાની છે તેમ ‘હજાર ચુરાશીર મા’ વિશે સુરેશ જોષીએ વન્સ અપોન અ ટાઇમ સાપ્તાહિક કોલમમાં આલેખવા માંડેલી પરિચયમાળાની છે. સુરેશભાઈની કોલમકારીના એ ગાળામાં જ આપણા બે, ‘રહેને કો ઘર નહીં: ઔર સારા જહાં હમારા’ જેવી જિંદગી બસર કરતા એમએલ મિત્રો અશ્વિન ને કર્દમ પાસેથી જાણવા મળેલું કે નિઃસ્પૃહા દેસાઈ એક હજાર ચોરાસીની માને ગુજરાતમાં અવતારી રહ્યાં છે.

    ફિલ્મ તો તે પછી મોડેથી આવી, જયા ભાદુરીના અભિનયમાં, પણ મહાશ્વેતાદેવીએ માંડેલી આ વાર્તા ૧૯૭૪માં, જોગાનુજોગ જેપી આંદોલનના અરસામાં, પ્રગટ થઈ હતી. જોગાનુજોગ કહું છું તે એટલા માટે કે એનું વસ્તુયે એક જુદે છેડેથી ચાલેલ પરિવર્તન આંદોલનનું હતું. નક્સલ ચળવળની પૃષ્ઠભૂ પર, એમાં સામેલ પુત્રને પગલે નિર્ભ્રાંત-મુક્ત-પ્રવૃત્ત થતી માતાની આ દાસ્તાન છે. નક્સલ પુત્ર માર્યો ગયો છે. એક અણઓળખી લાશ નંબર એક હજાર ચોરાસી રૂપે પડ્યો છે. દકિયાનુસી બાપ એને ઓળખવા બાબતે ચહીને આઘા રહેવું પસંદ કરે છે. પણ સુજાતા (મા) એમ પાછી પડતી નથી. ભદ્રવર્ગી ગિન્ની (ગૃહિણી) જાણે કે પિતૃસત્તાક, પુરુષપ્રધાન ને સામન્તી એવી સમાજ – અને – શાસનપ્રથાથી ઊંચે ઊઠે છે.

    સુજાતાનું પાત્ર વાંચતે વાંચતે ઊઘડતું આવતું હતું ત્યારે મને સાથોસાથ થઈ આવતું સ્મરણ મેક્સિમ ગોર્કીની ‘મધર’ (૧૯૦૬)નું અને ઇબ્સનની નોરા (‘ડોલ્સ હાઉસ’, ૧૮૭૯)નું હતું; અને હા, એમ તો, ઘરઆંગણે સત્યજીત રાયની ‘મહાનગર’ (૧૯૬૩)ની નાયિકા આરતી (માધવી મુખરજી)નુંયે. સત્યજીતની આરતી એક ભદ્રવર્ગી ગિન્ની છે, અને કુટુંબની આવકખોટ પૂરવા એ પહેલી વાર ઘરની બહાર કામે ચડે છે. મહિનો વીત્યે હાથમાં પગાર આવે છે, કડકડતી નોટોનો! એ પર્સમાં તો મૂકે છે, પણ હાય પેલી કડકડતી અનુભૂતિ… વારે વારે ‘ફેસિલિટી’માં જાય છે અને પેલી નોટોને હાથમાં લઈ પુનઃ પુનઃ રોમાંચ અનુભવે છે. એક અર્થમાં આ સ્મિત પણ મુક્તિનો સ્પંદ હતો. આવતી કાલે કદાચ એ ઇબ્સનની નોરા પેઠે બારણું ધડામ વાસી બહાર પણ નીકળી પડે.

    પણ મને ‘મધર’ કેમ આકર્ષે છે, કહું? નિરક્ષર છે, કોઈ આઇડિયોલોજીનો કે વ્યાપક સમાજઘટનાનો અમથો પણ અહેસાસ નથી, કામદાર પુત્રનું સભાન થવું, ચળવળમાં જોડાવું, અને મદદ કરવા છૂપી પત્રિકાનું વિતરણ કરવું એમ મા બેપ્ટાઈઝ થતી જાય છે અને આંદોલન યુનિવર્સિટીની સ્નાતક પણ… ઘરખૂણાની રોજિંદી જિંદગીને બદલે એક નવઉઘાડની કહાણી — બિરસાની સાથે કહીએ તો ઉલગુલન અને ક્રાંતિકારી પરિવર્તન! zમહાશ્વેતાદેવીની સુજાતા, બને કે, ગોર્કીની અમ્મા પેઠે ખીલવા કરે.

    લેનિન જેને ‘ઇન્ફન્ટાઈલ + એડવેન્ચરિઝમ’ તરીકે કદાચ ખપાવે એવી નક્સલ કુરબાની પિતાને ન સ્પર્શી પણ આ પ્રક્રિયા દરમિયાન માતાને સ્પર્શીયે જાય… નવજાતા સુજાતા, ક્યાં છો તું? સામાન્યપણે ડાબેરી રુઝાન સારુ જાણીતાં મહાશ્વેતાને ક્રાંતિનો જે વીંછી ડંખેલો એમાં સર્જક સહજ સહૃદયતાનેય કંઈક સ્થાન હતું. એટલે સ્તો નંદિગ્રામ ઘટના વખતે ડાબેરી સરકાર સામે પ્રતિકારમાં એ પહેલી હરોળના બૌદ્ધિક તરીકે બહાર આવી શક્યાં હતાં. શતાબ્દી વંદના સમેટતાં રૂડું સ્મરણ કે નારાયણ દેસાઈના નિમંત્ર્યાં એ સાહિત્ય પરિષદમાં અતિથિવિશેષ રૂપે સામેલ થયાં હતાં.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૪-૨-૨૦૨૬ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.