-
શિલ્પ….
જીવનની ખાટી મીઠી
નીલમ હરીશ દોશી
એક પછી એક નવો, ભવ્ય અસબાબ ઘરમાં ઠલવાઇ રહ્યો હતો. વિશાળ ડ્રોઇંગરૂમમાં એક પછી એક ફર્નીચર ઠલવાવા માંડયું હતું. ખાલી દીવાલો મોંઘા પેઇટીંગ્સથી શોભી ઉઠી હતી. નિરાલીના મનમાં વિચાર ચમકી ગયો…ખાલી મનને પણ આવી કોઇ રીતે ભરી શકાતું હોત તો ? ઘરમાં…ના, બંગલામાં…. માણસો દોડાદોડી કરીને બધું ગોઠવતા હતા. કયારેક નિરાલીને કંઇક પૂછતા હતા. નિરાલી બહુ નિસ્બત ન હોય તેમ જવાબ આપી દેતી હતી. મૉટે ભાગે તો ઇન્ટીરીયર ડેકોરેટરવાળા જાતે જ બધું સજાવતા જતા હતા. નિરાલીને થયું પોતે પણ આમ જ સજાવાઇને કોઇ એક ખૂણામાં ઉભી રહી જાય તો ? તો દીવાલ શોભી શકે ખરી ? જો કે પોતાને યે આમ જ સજાવવાના પ્રયત્નો થયા હતા ને ? પણ એ સજાવટની પાછળનું વરવું સ્વરૂપ યાદ આવતા એ કંપી ઉઠી. તેણ જોશથી માથુ ધૂણાવ્યું.
થોડીવારે નિરાલીની નજર બાલ્કનીમાંથી દેખાતી એક ઝૂંપડી પર પડી. કાલ સુધી તો ત્યાં ખાસ કંઇ નહોતું. આજે ત્યાં પણ કોઇનો અસબાબ ઠલવાઇ રહ્યો હતો. કાલે તો ફકત ત્રણ ઇંટનો બનેલો ચૂલો, બે ચાર વાસણો અને એક તાવડી જ દેખાતા હતા. આજે રાતોરાત ત્યાં પણ સમૃધ્ધિ છલકાઇ ગઇ હતી. આજે એકાદ ડોલ, ભાંગેલ, તૂટેલ ખાટલો, એક ફાનસ, પાણીનું માટલું, દોરી પર લટકતાં મેલાઘેલા કપડાં,અને બે ચાર વાસણોનો પણ વધારો થયેલ દેખાતો હતો. અને એક નાનકડું કુટુંબ કિલ્લોલ કરતું નજરે ચડી રહ્યું હતું.
બાપ સામે બનતાં નવા બંગલા માટે ઇંટો સારતો હતો. તેની પત્ની ગલગોટા જેવા બાળકને ખોળામાં લઇ દૂધ પીવડાવતી હતી.
નિરાલીનો હાથ અનાયાસે પોતાની સુક્કી છાતી પર….!
ના..ના… બધું બરાબર હતું. નિર્ભયની ઇચ્છા મુજબ ફીગર ખરાબ નહોતું થયું.
નિરાલીની નજર ફરીથી બાઇ પર પડી. તે કાળી હતી..પણ એની નમણાશ અદભૂત લાગતી હતી. તેના મોં પર એક ગરવાઇ, મોટી આંખોમાં એક શાંતિ,સંતોષ છલકતા દેખાતા હતા. ચહેરા પર ખુશી છલકતી દેખાતી હતી.
બંગલાની અંદરની સુંદરતા જોવાને બદલે નિરાલી અદભૂત રસથી સામેની સૃષ્ટિનું નિરીક્ષણ કરી રહી.
થોડીવારે પેલી બાઇનો વર નાનકડા ગ્લાસમાં કયાંકથી બે ચા લઇ આવ્યો. એક વાટકીમાં અડધો કાઢીને પત્નીને આપ્યો અને અડધી પોતે મોઢે માંડી. બાઇએ મીઠું હસીને ચા મોઢે માંડી. તેનો એક હાથ દૂધ પીતા બાળકના માથા ઉપર સ્નેહથી ફરી રહ્યો. અને અચાનક ન જાણે કઇ વાત પર બંને ખિલખિલાટ હસી ઉઠયા.
‘ મેડમ..આ સ્ટેચ્યુ કયાં મૂકવાનું છે ? માતા પુત્રનું એક મોટું સુન્દર શિલ્પ કયાં રાખવું તે અંગે નોકરો નિરાલીને પૂછી રહ્યા હતા.
નિરાલીની નજર પથ્થરના શિલ્પ અને સામેના જીવંત શિલ્પ તરફ વારાફરથી ફરી રહી.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
-
સ્મૃતિસંપદા – અરવિંદ સી. થેકડી – અમદાવાદથી અમેરિકા [૩]
આ પહેલાં આપણે અરવિંદભાઈ થેકડીના યુનિવર્સિટી સમયકાળ સાથે પરિચિત થયા.હવે આગળ………….
ખરું કામ અને દુનિયાનો અનુભવ
ટોલેડો,ઓહાયોની સરફેસ કમ્બશન કંપનીએ નોકરીએ રાખેલો હું ભારતીચ મૂળનો પહેલો માણસ હતો. એ વખતે ટોલેડો કાચની નગરી કહેવાતું કારણકે દુનિયાની સૌથી મોટી કાચ કંપનોઓનાં હેડક્વાર્ટરો ત્યાં હતાં. તદુપરાંત ચાર ગાડી બનાવતી કંપનીઓ ( જનરલ મોટર્સ, ફોર્ડ, ક્રાઈઝલર અને અમેરિકન મોટર્સ) અને કેટલીય મોટી ગાડીના પુર્જા બનાવતી કંપનીઓંનાં કારખાનાં ત્યાં હતાં. પણ એ યુનિયનનગર હતું કેમ કે ઉદ્યોગોમા શહેરના મજદૂર સંઘોની મજબૂત પકડ હતી. ત્યાંનું સામાજીક માળખું અને વસ્તી અમે જ્યાં રહેતા હતા તે કૉલેજનગરથી ભિન્ન હતાં. હું જે કંપનીમાં કામ કરતો હતો તેની પાસે ભણેલા અને અનુભવી ઈજનેરો તથા બીજો સ્ટાફ હતો અને કારખાનામાં યુનિયનપરસ્ત કામદાર વર્ગ પણ. દફતરમાં બધા ગોરા લોકો હતા. કારખાનાના કામદારોમાં પણ થોડા કાળાઓને છોડીને બધા ગોરા લોકો હતા. હું હતો પરદેશી અને પાછો ગોરો પણ નહિ. એટલે દફતર અને કારખાનામાં કામ કરતા લોકોનો વિશ્વાસ જીતવામાં સમય લાગ્યો. પણ હું ખુશ હતો કે એક વખત વિશ્વાસ જીતી લીધા પછી મને તેઓ તેમનામાંનો એક ગણતા થયા, સિવાય કે એક બાબતમાં. હું હતો પાકો શાકહારી અને કાફેટેરિયામાં કે આજુબાજુના વિસ્તારમાં આવેલાં ભોજનાલયોમાં જાત જાતનો ખોરાક મેળવવાનું મુશકેલ હતું. મારા સહકર્મચારી કે ગ્રાહકો કે જેને હું મળ્યો તેમને નવાઈ લાગતી હતી કે માંસ, ઈંડાં કે માછલી ખાધા વગર હું જીવતો હતો અને તંદુરસ્ત દેખાતો હતો. ભારતીય શાકાહારી ખોરાકમાં જરૂરી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ ક્યાંથી અને કેવી રીતે મળતાં હતાં તે સમજાવતાં વાર લાગતી. મેં મારા સૌથી નજીકના કામ કરતા સાથીઓને અમારે ઘેર ડિનર માટે બોલાવ્યા અને મંજુલાએ જાતજાતની ભારતીય વાનગીઓ બનાવી. મેં દરેક વાનગીનું વર્ણન કર્યું અને સમજાવ્યું કે અમને જરૂરી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, સાકર વિ. ક્યાંથી મળતાં હતાં. આ ડિનરના અનુભવ પછી એમને સમજાયું કે જીવવા માટે કોઈએ માંસ, ઈંડાં કે માછલી ખાવાં એટલાં જરૂરી નથી.
થોડા સમયમાં હું શીખ્યો કે લોકો જોડે તેમની “ભાષા”માં વાત કરવી અને તેમના કામમાં, ખાસ તો તેઓ કેઈ ગંભીર સમસ્યામાં ફસાઈ ગયા હોય ત્યારે મદદ કરવી એમાં જ અમેરિકા સહિત દુનિયાભરના લોકોની જેમ આ “પરદેશી” પણ સમજદાર( જ્ઞાની ), ચાલાક અને મદદગાર હોઈ શકે છે એવી છાપ ઉભી કરવાની ચાવી હતી. એક વખત મેં એમનો વિશ્વાસ જીત્યો પછી દફતર અને કારખાનામાં તેમનામાંનો એક બનવાનું મુશ્કેલ ન હતું. મેં એ પણ શોધી કાઢ્યું કે કામ કરતા કે અમારા પાડોશમાં રહેતા લોકોને ભારત વિષે બહુ જાણકારી ન હતી. ભારત વિષે થોડું ઘણું જાણનાર લોકોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય.
- કેટલાક સૈન્યના નિવૃત્ત સૈનિકો કે અધિકારીઓ જેઓ પૂર્વ ભારતમાં ( એટલે કે કલકત્તા અથવા કોલકાતા ) કે ચીનમાં બીજા વિશ્વયુધ્ધ વખતે મિત્રદળોના ભાગરૂપે ગયા હોય.
- સરફેસ કમ્બશન અને બીજી કંપનીઓમાંથી સેલ્સમેન કે ઈજનેરી કામ કરવાવાળા જે ભારત કે એશિયાના બીજા દેશોમાં ગયા હોય કે ત્યાંના લોકોના સંપર્કમાં હોય. તેમાં ભારત જઈ આવ્યા હોય કે ત્યા ઘણાં વર્ષો રહી આવ્યા હોય તેવા થોડા ખ્રિસ્તી મિશનરીઓ પણ આવી જાય.
- અહીંની મોટા ભાગની વસ્તી જે ભારતને રખડતા હાથી અને ઢોર, મદારી તથા જેની પાસે ખાવા માટે કંઈ ન હોય અને અમેરિકા તેમને જીવવા માટે અનાજ મોકલતું હોય એવા ગરીબોના ટોળાંના દેશ તરીકે જાણતી હોય.
આ છેલ્લા વિભાગના લોકોને જ્યારે જાણવા મળે કે ભારત પાસે ગાડીઓ, ટ્રેઈનો, વિમાનો, પાકા રસ્તા, સુખસગવડવાળી હોટલો, સિનેમાગૃહ કે નાટ્યગૃહ અને જ્યાં મારા જેવા અમેરિકા આવતા પહેલાં ભણ્યા હોય એવી કોલેજો તથા વિદ્યાપીઠો છે ત્યારે તેમના આશ્ચર્યનો પાર ન રહે. કેટલીક વાર એવું પૂછે કે અમે કઈ આદીવાસી કોમના સભ્ય છીએ. જ્યાં સુધી અમે અમેરિકન ઈંડિયન વિષે અને અમેરિકાની અંદર જ વસેલાં તેમનાં રાષ્ટ્રો કે રીઝર્વેશનો વિષે જાણ્યું ત્યાં સુધી તેમનો છેલ્લો પ્રશ્ન અમને પજવતો રહ્યો. અમારે માથે પીંછાં બાંધેલાં ન હતાં કે “ઈંડિયનો”ને અગ્નિજળ યાને કે દારૂ ધરવો એ મજાક બની ગઈ. અમને પણ એ આનંદદાયક લાગી.
ફરીથી કહું છું કે મોટા ભાગના સહકર્મચારી અને કારખાનાના કામદારોનું વર્તન મિત્રતાભર્યું હતું અને તેઓ મદદ કરવા તત્પર રહેતા. દા.ત. એ વખતે ( ૧૯૭૦ની શરૂઆતમાં ) લગભગ બધા જ ભારતીય પરિવારો એપાર્ટમેન્ટમાં રહેતા.પોતાનું ઘર હોવું એનો તો વિચાર સરખો પણ ન કરી શકાય. અમને કહેતા કે ઘર હોય તો ઘણું કામ રહે – લૉન કાપવી પડે, બરફ ખસેડવો પડે, ઘરમાં સમારકામ કરવું પડે વિ. મારા સહકર્મચારીઓમાંથી એકે એટલે કે મારા ખાસ મિત્ર ટૉમ કૈઝરે મને ઘર ખરીદવા પ્રોત્સાહિત કર્યો. દેખીતી રીતે ઘર માટે આપવાના પૈસા મારી પાસે ન હતા અને એ માટે લોન મેળવવાની ચિંતા હતી. એ વખતે અમદાવાદ જેવાં શહેરો કે ભારતમાં હોમ લોનની પ્રથા પ્રચલિત ન હતી. મને થયું કે હું અહીંનો નાગરિક ન હતો, મારો કોઈ ક્રેડિટનો ઈતિહાસ ન હતો કે ન એ લોકો મને ઓળખતા હતા. તો મને એ લોન શા માટે આપે. ટોમે મને ખાત્રી આપી કે જો બેંક મારા જેવા ભણેલા અને આવક ધરાવતા લોકોને લોન ન આપે તો તેમના દરવાજા બંધ કરવા પડે. એટલે તેણે લોન માટે અરજી કરવામાં મને સહાય કરી. મને લાગ્યું કે તેમનો જવાબ આવતાં વખત લાગશે. પણ ટોમ સાચો હતો. બે દિવસમાં બેંકે મને બોલાવ્યો અને કહ્યું કે લોન પાસ થઈ ગઈ છે. ભારતીય સમાજ માટે તે વાતોનો વિષય બની ગયો. ટોમે મને ઘર ખરીદવામાં મદદ કરી. એટલું જ નહિ પણ ઘરમાં બધું વ્યવસ્થિત કરવાની મને તાલીમ આપવાની સાથે પોતે પણ મહેનત કરી. પીએચ.ડી.ના વિદ્યાર્થી તરીકે મને જે તાલીમ મળેલી તે કામમાં આવી.
તદુપરાંત મારો એક સાથી અને મિત્ર ફ્રૅન્ક વેરિક, જે ઈજનેર તરીકે કામ કરતો હતો અને કિસાન પણ હતો તેની પાસે દસ એકર જમીન હતી. એક વખત એના ઘરે ગયો તો સામે કચરાની થેલીઓ ખડકેલી હતી. અમે જ્યારે એ થેલીઓ વિષે પૂછ્યું તો તેણે કહ્યું કે એમાં નકામા નાના બટાટા ભરેલા હતા. મંજુલાએ કહ્યું કે નાના બટાટા તો ભારતીય રસોઈમાં જોઈતી ચીજ હતી અને પૂછ્યું કે શું તે થોડા બટાટા લઈ જઈ શકે. એણે તો બધીજ થેલીઓ ગાડીની ડીકીમાં ભરી દીધી. બીજે દિવસે મંજુલા તો ભારતીય મહિલાઓમાં સૌથી લોકપ્રિય વ્યક્તિ બની ગઈ કારણ કે તેણે આ બધા બટાટા ભારતીય પરિવારોમાં વહેંચી દીધા. બીજી વાર ફ્રૅન્ક અને તેની પત્ની ગેઈલ અમારે ત્યાં આવ્યાં અને ડિનર લીધું. મંજુલાએ બટાટાવડાં તેમજ ભરેલા બટાટા અને ભરેલાં રીંગણ બનાવ્યાં હતાં. તેઓને નવાઈ લાગી કે કહેવાતી ફેંકી દીધેલી ખાવાની ચીજમાંથી સ્વાદિષ્ટ ભોજન બની શકે છે. તે પછી ફ્રૅન્ક અને ગેઈલને ભારતીય ભોજન ગમવા લાગ્યું. એટલું જ નહિ પણ જ્યારે યુરોપનાં ઘણાં શહેરોમાં ( ખાસ કરીને યુ.કે.માં લંડન અને બર્મિંગહામમાં ) સાથે ગયા ત્યારે મને ભારતીય ભોજનાલય શોધવા કહ્યું. ફ્રૅન્ક એક “સદગૃહસ્થ” કિસાન છે એવું જાણતા હોવાથી મંજુલાએ તેને પૂછ્યું કે અમને ગમતાં શાકભાજીનાં બીજ તેના ખેતરના ખૂણામાં નાખીએ તો તેને વાંધો છે. તે તૈયાર થયો અને પછી તો અમને જોઈએ એટલાં કોથમીર, મેથી, ફૂદીનો તેમજ રીંગણ, ટામેટા જેવાં શાક ઉનાળામાં મળવા લાગ્યાં. ઝાડોને કાપવાની અને તેમના ચીરા કરવાની મહેનત બધી ફ્રૅન્કે કરી. બાળવાનાં લાકડાં જે અમે ફાયરપ્લેસમાં વાપરતા હતા તે તેના ત્યાંથી આવતાં હતાં. અમારા ટોલેડો ક્ષેત્રના નિવાસ દરમિયાન અનેક વાર અમને મદદ કરનાર મારા સાથીઓ અને મિત્રોની ઉદારતાના ઘણા દાખલાઓમાંનો આ એક જ છે.
ટોલેડોમાં હતા ત્યારે શરૂઆતમાં જીજ્ઞાસુ અને ચેતતા રહેતા પણ અંતે તેણીના મિત્ર બનનાર અમારા પાડોશીઓ પાસેથી મંજુલા ઘણી વસ્તુઓ બનાવતાં શીખી. ત્યાં સુધીમાં તેણે પશ્ચિમી પહેરવેશ અપનાવ્યો
અને આડોશપાડોશની પાર્ટીઓમાં ખુશીથી જવા લાગી તેમજ ભારતીય વાનગીઓ બનાવવાની રીત પાડોશીઓને બતાવવા લાગી. એમને ધન્ય છે કે જે બધાએ પોતાના રસોડામાં કેટલીક ભારતીય વાનગીઓ શીખીને બનાવવા પ્રયત્ન કર્યો અને સમય કાઢ્યો. ૧૯૭૨માં જ્યારે અમારી પુત્રી હિના પાંચ વર્ષની થઈ ત્યારે નજીકની પ્રાથમિક શાળામાં જવા લાગી. એ પહેલી “વિદેશી” હતી જેને ત્યાંનાં ભૂલકાં અને શિક્ષકો મળ્યા હોય. પણ બધાએ ખૂબ સહકાર આપ્યો અને એમનામાંના એક તરીકે સ્વીકારી લીધી. હિનાએ શાળાનાં વર્ષો દરમિયાન જીવનભરનાં ઘણાં મિત્રો બનાવ્યાં.
ટોલેડોમાં ભારતીય લોકો થોડા જ હતા. કદાચ ૫૦-૬૦0 પરિવાર અને ટોલેડો યુનિવર્સિટીના ઘણા બધા વિદ્યાર્થીઓ. તેઓ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવતા હતા. પણ ભારતીયતા તેમને એકબીજા જોડે બાંધી રાખતી હતી. મોટા ભાગના ભારતીયો કાંતો ઈજનેર હતા કે પછી દાક્તર. બધા ઘણું કરીને તેમના વ્યવસાયમાં નવા હતા, નજીક નજીક રહેતા હતા અને આર્થિક રીતે સમાંતર ધોરણે હતા-કોઈ ગરીબ કે તવંગર ભારતીય ન હતા, હતા સહુ માત્ર ભારતીય. તમને સાડી પહેરેલી મહિલા કે ભારતીય ઢબે બોલતી ઘઉંવર્ણા ચહેરાવાળી વ્યક્તિ દેખાશે તો તમે થોભશો અને તેમની જોડે વાત કરવાની શરૂ કરશો. તે તરત જ તમારા મિત્રો બની જશે. મને યાદ આવે છે બે ભારતીય પરિવાર જેમાં પતિ ભારતીય અને પત્ની અમેરિકન હતી જે બધી જ ભારતીય પ્રવૃત્તિઓમાં ભાગ લેતી.અને એકે ( લિન્ડા જોષી ) ભારતીય લાડુ અને સમોસા જેવી શાકાહારી વાનગીઓ બનાવવાનું પણ શીખી લીધું હતું.
ઈંટરનેશનલ ઈંસ્ટિટ્યુટ ઓફ ટોલેડો નામની એક સંસ્થા હતી જે વાર્ષિકોત્સવ રાખતી અને એમાં બધી જ “પરદેશી” કોમો ભાગ લઈ શકતી. તેમાં દુનિયાભરના ( લગભગ 30 દેશોના ) લોકો આવી જાય. બે દિવસનો ઉત્સવ ભારતીય લોકોને મળવાનો તથા અંગત સંબંધો કેળવવાનો અવસર પૂરો પાડતો. આ સંબંધો પછીના ઉત્સવોથી ગાઢ બનતા. ભારતીય લોકો રાસ-ગરબા, ભાંગડા, શાસ્ત્રીય નૃત્ય, બોલીવુડનાં નૃત્ય વિ. જેવા મનોરંજનના કાર્યક્રમોમાં ભાગ લેતા. અમારું એક બૂથ હતું જ્યાં ભારતીય ફાસ્ટફૂડની યીજો જેવી કે સમોસા, ભજીયાં, લાડુ, ખમણ-ઢોકળાં, સૂકી પુરી વિ. વેચતા. બધી ચીજો સ્વયંસેવક ભારતીય મહિલાઓ અને પુરૂષો પોતાના ઘરમાં કે બીજા કોઈના ગરાજમાં સાથે મળીને બનાવતા. ઉત્સવ બે દિવસ ચાલે અને અન્ય દેશોના લોકો સાથે મિત્રતા કેળવવાની મોટી તક પૂરી પાડે. દુઃખની વાત એ છે કે જેમજેમ હિજરતીઓની સંખ્યા વધી તેમતેમ તેમાં જૂથ પડી ગયાં એટલે દરેક જૂથ પોતાની રીતે અલગ ઉત્સવ ઉજવે. પરિણામે મુખ્ય ઈંસ્ટિટ્યુટને મળતો આર્થિક ટેકો ઘટવા લાગ્યો, તેની પ્રવૃત્તિઓ ઘટવા લાગી અને મારી જાણકારી પ્રમાણે ઈંસ્ટિટ્યુટ બંધ થઈ ગઈ.
નવરાત્રી વખતે ભારતીય લોકો રાસ-ગરબાનો કાર્યક્રમ ગિરજાઘરમાં રાખે અને આજુબાજુના શહેરોમાં રહેતા ભારતીય લોકો તથા થોડાક અમેરિકનો એમાં જોડાય. દિવાળી શાળાના કાફેટેરિયામાં કે પછી ગિરજાઘરના મોટા સભાગૃહમાં ઉજવાય અને તેમા ઘણા અમેરિકન મિત્રોને બોલાવીએ.
જેમ જેમ ભારતીય લોકોની સંખ્યા વધતી ગઈ અને જ્યારે હિજરતીઓ વિખ્યાત દાક્તર, ઈજનેર કે ઉદ્યોગપતિ-વ્યાપારી બની ગયા ત્યારે એમને લાગ્યું કે પોતાનાં બાળકોને ધર્મ, સંસ્કૃતિ, ઈતિહાસ વિ. શીખવવાં જોઈએ. એટલે અમે ઈંડિયા એસોસિએશનની સ્થાપના કરી, બાળકો માટે સપ્તાહના અંતે લેવાતા વર્ગો શરૂ કર્યા, માસિક સમાચારપત્ર શરૂ કર્યું અને યાત્રી ભારતીય નિષ્ણાતો, ધાર્મિક વડા વિ.નાં પ્રવચનો ગોઠવ્યાં. પરિણામે ટોલેડોમાં હિંદુ મંદિર સ્થપાયું. તેનો વિકાસ થયો અને અત્યારે સંપૂર્ણ હિંદુ ઘાર્મિક સંસ્થા તરીકે ચાલે છે. મંદિર દર વર્ષે ફેસ્ટિવલ ઓફ ઈંડિયાનું આયોજન કરે છે. અત્યારે તે ટોલેડડો ક્ષેત્રનો મુખ્ય વાર્ષિકોત્સવ બની ગયો છે.
અમે અમેરિકા આવ્યા તેનાં પાંચ વર્ષમાં અમે થોડા ભારતીય કરિયાણા સ્ટોર, ૨૨૦-૧૧૦ વોલ્ટનાં ઉપકરણોનો સ્ટોર, ભોજનાલયો અને સાડી સ્ટોર શિકાગો, ક્લિવલેન્ડ વિ. જેવાં નજીકનાં મોટાં શહેરોમાં ખુલતા જોયા. અમેરિકામાં રહેતા ભારતીયો માટે તો આ મોટો ફેરફાર હતો. હવે કહેવા પૂરતી ભારતીય વાનગીઓ બનાવવાની જરૂર નહિ પડે.
અંગત રીતે, મેં રિસર્ચ એન્જીનીયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું ૧૯૭૦માં અને ૧૯૮૬ સુધીમાં ટોલેડોના મિડલેન્ડ રૉસ ટેક્નિકલ સેંટરમાં ટેક્નિકલ ડાયરૅક્ટરની પદવી પર પહોંચ્યો. જ્યારે સરફેસ કંબશનમાં કામ કરતો હતો ત્યારે બાઉલિંગ ગ્રીન યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. કર્યું. કંપનીના વહીકવટકર્તાઓની ભલામણથી મેં ડેલ કાર્નેગીમાં કોર્સ કર્યો. લોકો સાથે કામ પડે ત્યારે અને જાહેરમાં બોલવાનું હોય ત્યારે આત્મવિશ્વાસ કેળવવા માટે તે મહત્વનું પગલું હતું અને ભવિષ્યની કારકિર્દી માટે કામ આવવાનું હતું. કંપનીમાં ઝડપી પ્રગતિથી મને ખાત્રી થઈ કે અમેરિકાના શેઠિયા મોટો ભેદભાવ રાખ્યા વગર તક્નિકી જ્ઞાન તથા સખત મહેનતની કદર કરે છે. “મોટો” એટલા માટે કે મારા અનેક અનુભવો બતાવે છે કે જ્યારે મને લાગ્યું કે મારી સાથેનું વર્તન બરાબર નથી ત્યારે પણ મને કોઈ ભેદભાવ દેખાયેલો નહિ. મને લાગ્યું કે સામાન્ય માણસનો એ સ્વભાવ હતો- તમને કોઈ લોકો ગમે અને કોઈ ન ગમે. એનું કારણ એ હોઈ શકે કે ભારતમાં એવા કિસ્સા જોયા કે અનુભવ્યા હોય જેમાં એક વ્યક્તિ કોઈ એક જણની “લાડકી” બની જાય પણ બીજા ઘણાની “ઓરમાન”. પાછલા અનુભવને જોતાં એવા ઘણા પ્રસંગો યાદઆવે છે જેમાં મને ઊંચી પોસ્ટ માટે કે એવૉર્ડ માટે કે “હોદ્દેદારોની કતાર”માં અમુક હોદ્દેદારની જગા લેવા માટે પસંદ ન કરવામાં આવ્યો હોય. પણ મને એમાં કદી ભેદભાવ દેખાયો નહિ. કદાચ એ વખતે મારા શબ્દકોશમાં “ભેદભાવ” જેવો શબ્દ નહિ હોય.
૧૯૮૬માં મેં એ કંપની છોડી દીધી અને ટોલેડોમાં ઈંદુગેસ નામની નવી કંપની શરૂ કરવા મારા બૉસ સાથે જોડાયો. આ કંપનીએ થર્મલ એન્જીનીયરિંગનાં ઘણાં ક્ષેત્રોમાં સંશોધન કર્યું અને નવી ટેક્નોલોજીઓ વિકસાવી. મોટા ભાગના સંશોધનનો ખર્ચ ખાનગી કંપનીઓ, ઈલેક્ટ્રિક પાવર ઉદ્યોગ અને અમેરિકાના ડીપાર્ટમૅન્ટ ઓફ એનર્જીએ ઉપાડી લીધો. આ ટેક્નોલોજીઓને આધારે જે કંઈ માલ બન્યો તેમાંનો કેટલોક વેચવા માટે અને બજારમાં મૂકવા માટે અમે થરમોટેક ઇંડસ્ટ્રીઝ નામે કંપની શરૂ કરી તેમજ લી વિલ્સન નામની બીજી કંપની ખરીદી લીધી.
૧૯૯૭માં મેં ટોલેડો છોડ્યું અને રૉકફૉર્ડ( ઈલીનોઈસ )માં આવેલી ઈપ્સન અબાર કોર્પોરેશન નામની મોટી ફરનેસ કંપની માટે સંશોધનની સગવડ વિકસીત કરવાની વિશિષ્ટ જવાબદારી સ્વીકારી. આ જવાબદારી પત્યા પછી હું વૉશિંગ્ટન ડીસી બાજુ ગયો. ત્યાં પ્રોસેસ હીટિગમાં ખાસ પ્રોગ્રામ વિકસિત કરવા ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જી સાથે કામ કરવા માટે એક કંપની ઊભી કરવા મને પ્રોત્સાહિત કરવામાં આવ્યો. મેં ઈ3એમ.ઇન્કોર્પોરેટેડ ( એનર્જી એન્ડ એન્વિરૉનમેન્ટ એફિસીયન્સી મેનેજમેન્ટનું ટૂંકું નામ ) નામની કંપની શરૂ કરી. આ જવાબદારી પડકારરૂપ હતી. એમાં બધી પ્રકારની ઔદ્યોગિક હીટિંગ સીસ્ટમમાં એનર્જીની બચત કરવાના પ્રયત્નો વચ્ચે એકસૂત્રતા લાવવી પડે. અગાઉ ક્યારે પણ આવું કામ કરવામાં આવ્યું ન હતું અને ખનીજ તેલ, રસાયણ, લોહ અને પોલાદ, એલ્યુમિનિયમ, કાચ, સીમેન્ટ, જંગલની પેદાશ વિ. અનેક ક્ષેત્રોની ઘણી મોટી ઔદ્યોગિક કંપનીઓ સાથે સહયોગ કરવો એ મોટો પડકાર હતો. એની સાથે અનેક મોટા હીટિંગ ઈક્વિપમેંટના ઉત્પાદકો અને ઘણા બધા ઔદ્યોગિક ક્ષેત્રોને સેવા આપતાં અનેક વ્યાપારી-તક્નિકી સંગઠનો સાથે સહયોગ કેળવવો જરૂરી હતો. હું નસીબદાર હતો કે મને ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જીમાંથી અનેક લોકો, ઓક રીઝ નેશનલ લેબોલેટરી જેવી સંશોધન પ્રયોગશાળા અને ઉદ્યોગોની દોરવણી તથા સહકાર મળ્યાં. હજુ પણ ઈ3એમ કંપની યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ( યુએનઆઈડીઓ ) અને ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જી ( ડીઓઈ ), ઈપીએ, સ્ટેટ ડીપાર્ટમેન્ટ, ડીફેન્સ ડીપાર્ટમેન્ટ વિ.ને સેવા આપે છે. અમારાં એનર્જી અને એન્વિરોનમેન્ટ ક્ષેત્રનાં કાર્યોએ મને અમેરિકાનાં બધાં જ 50 રાજ્યોમાં જવાની તક પૂરી પાડી. એને લીધે હું દુનિયાના પાંચે ખંડોના દેશો, ખાસ કરીને એશિયા ( ચીન, ભારત, જાપાન, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, મલયેશિયા, ઈન્ડોનેશિયા વિ. ), આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ વિ.માં જઈ શક્યો. આ દુનિયાને જાતે જોવાની અને જાણવાની મહાન તક હતી.
મેં જે મહત્વનું દર્શન કર્યું તે એ કે દર વર્ષે કેટલાય લાખ ડોલરના બજેટના વહીવટ માટે જવાબદાર પ્રોજેક્ટ કે પ્રોગ્રામ મેનેજરો જેવા ઘણી નજરે ન દેખાતી પદવીપર સેવા આપતા મોટા ભાગના સરકારી કર્મચારી પ્રમાણિક અને મહેનતુ છે. પોતાના કામથી કંઈક “ફરક પડશે” તેનો તે ગર્વ અનુભવે છે અને પોતાની અંગત તેમજ વ્ચવસાયિક જવાબદારીને ગંભીરતાથી લે છે. પણ ઘણીવાર તેમના કામ બાબતમાં રાજકીય નિમણૂક પામેલા તેમજ કોંગ્રેસ કે સેનેટના સભ્યો રોકી શકે છે, કંટ્રોલ કરી શકે છે કે તેમના પર દબાણ લાવી શકે છે. બજેટ પણ રાજકીય અને નીતિવિષયક બાબતોને ધ્યાનમાં રાખીને કામમાં વાપરવા દબાણ કરવામાં આવે.
મને એ પણ જાણવા મળ્યું કે સરકારી અમલદારશાહીને ભેદવી બહુ જ મુશ્કેલ છે. એવી ઘણી સ્થાપિત અને પહોંચેલી કંપનીઓ છે જે લગભગ બધાં સરકારી ખાતાઓમાં પગદંડો જમાવીને બેઠેલી છે. એમની પાસે નિર્ણય લેવા માટે જરૂરી એટલી બધી ઐતિહાસિક માહિતી હોય કે સરકારી પૂછપરછનો ફટાફટ જવાબ આપવામાં કામ લાગે. એમના કૉન્ટ્રેક્ટ કે સર્વિસ બંધ કરાવવાનું ખૂબ જ મુશ્કેલ છે. મને ખાત્રી થઈ કે કન્સલ્ટિંગ કંપનીઓ અને માલના વ્યાપારી લોબીઈસ્ટ સાથે મળીને એટલી બધી લાગવગ ધરાવે છે ( સારી કે ખરાબ ) કે સરકારી મશિનરી એમના ટેકા વગર ચાલી જ ન શકે. મારે આ હકીકત જોડે સમાધાન કરવું જ રહ્યું. પણ, થોડાક પ્રમાણિક સરકારી કર્મચારીઓનો પાડ માનવો રહ્યો જેમને હું જે કંઈ આપવા માગતો હતો તે અને મારું પાછલું કામ તથા તેની સફળતાનું મહત્વ સમજાયું. પરિણામે હું પણ થોડા સમયમાં ખૂબ નાના પાયે કન્સલ્ટન્ટ તરીકે સ્થાપિત થયો.
૨૦૦૦ થી ૨૦૧૬ દરમિયાન હું અનેકવાર ઘણા દેશોના પ્રવાસે ગયો અને ત્યાંની સરકારી સંસ્થાઓ તથા ખાનગી ઉદ્યોગો સાથે કામ કર્યું. આ પ્રવાસોએ મને લોકોની જરૂરિયાતો અને ઈચ્છાઓને સમજવાની તક આપી. દરેકને શીખવાની અને આગળ વધવાની ઈચ્છા હતી – મોટે ભાગે જીવનધોરણને અમેરિકાની તોલે લાવવાના ધ્યેયથી..આ પ્રવાસોએ મને શીખવ્યું કે માનવજાત બધે સરખી જ હોય છે. જ્યાં સુધી તમે તેમની સાથે માનપૂર્વક વર્તશો અને મદદ કરવા પ્રયત્ન કરશો તેઓ તેમની રીતે એવો જ પ્રતિભાવ આપશે. મારી પાસે એના ઘણા દાખલા છે. જેવા કે ઉત્તર ચીનમાં મારા માટે શાકાહારી ભોજન લાવવા માટે એક કંપનીએ કોઈકને ૫૦ કિલોમીટર દૂર મોકલ્યો અને મારા ડિનર માટે ફ્રેંચ ફ્રાઈઝ પણ મંગાવી. અથવા હું જ્યારે અઠવાડિયા માટે પેકિંગમાં હતો ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે એક જર્મન રસોઈયો મારા માટે સરસ ભારતીય ખાણું બનાવવાનો હતો.
પેન્સિલવેનિયાની સ્ટેટ કોલેજમાં આવ્યાને ત્રીસ વર્ષ થયાં પછી એટલે કે ૧૯૯૭માં અમે વૉશિંગ્ટન ડીસી ગયા. અને ભાન થયું કે ઘણું બધું બદલાઈ ગયું હતું. અમેરિકામાં ૧૯૬૭ના દસવીસ હજારની સરખામણીમાં ભારતીય મૂળના લોકો વીસ લાખ કરતાં વધારે થઈ ગયા હતા.
સામાજિક વાતાવરણમાં ઘણો મોટો ફરફાર થયો હતો. એ દિવસો ગયા કે જ્યારે કહેવા પૂરતો ભારતીય ખોરાક બનાવવો પડતો અને ખાવો પડતો, ટપાલથી ઓર્ડર આપીને હોંગકોંગથી સાડીઓ મંગાવવી પડતી, ભારતથી મંગાવેલા મસાલા અને મીઠાઈઓ માટે પાર્સલની રાહ જોતા, ભારતમાં પ્રિયજનો સાથે વાત કરવા ટેલિફોનની લાઈન મેળવવા કલાકો રાહ જોતા વિ. હવે તો ત્યાં ઘણા ભારતીય સ્ટોર, ભોજનાલયો, મંદિરો, ભારતના વિવિધ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતાં સંગઠનો, ભારતીય વર્તમાનપત્રો અને સામયિકો, ભારતના વિખ્યાત કલાકારો ( અભિનેતા, ગાયકો, નૃત્યકારો વિ. ) ઉપરાંત ઘણા ધાર્મિક સંતો અને મહારાજના મનોરંજન કાર્યક્રમો, ભારતના ટીવી કાર્યક્રમો હતા. સાથે મફતમાં સામસામે અમર્યાદિત વાતચીત કરવા અને મળવા માટે વૉટ્સએપ તો ખરું જ. મોટાં, જોવાં ગમે એવાં બીએપીએસ મંદિર સહિત મોટાં શહેરોમાં અનેક મંદિરો છે. ઘણા ભારતીય મૂળના લોકો રાજ્ય વિધાનસભામાં યુ.એસ.કોંગ્રેસના સભ્યો તરીકે રાજકારણના ભાગ બન્યા છે અને યુવાન ભારતીયો મોટા ગજાના રાજકારણીના સ્ટાફમાં મહત્વનાં પદ સંભાળે છે. અમેરિકાભરની બધી મોટી યૂનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો છે. નોબેલ પુરસ્કાર જીતનારા પણ છે. પ્રાથમિક રીતે સૉફ્ટવેર વિકસિત કરતો સંપૂર્ણ આઈટી ઉદ્યોગ મોટે ભાગે ભારતીય મૂળના લોકો પર આઘાર રાખે છે.
આમ કેવી રીતે બન્યું? અમને આ ક્રાંતિ લાવવામાં ભાગ ભજવનાર ઘણાં પરિબળો દેખાયાં.
- આઈઆઆટી, આઈઆઈએસસી અને બીજી ઘણી યુનિવર્સિટીઓ જેવી વિખ્યાત ભારતીય શિક્ષણ સંસ્થાઓમાંથી યુએસએમાં આવતો વિદ્યાર્થીઓનો અવિરત પ્રવાહ. આ મહેનતુ વિદ્યાર્થીઓએ બધાં ક્ષેત્રોની આગળ પડતી કંપનીઓમાં કામ કરવાનું શરૂ કર્યું અને સખત મહેનત તથા નીતિમત્તા સાથે સરસ કામ કરીને પોતાની આવડત પૂરવાર કરી. એમને બઢતી મળી અને આગળ જતાં ઊંચો હોદ્દો પણ તેમને આપવામં આવ્યો.
- ૧૯૬૦ અને ૭૦ના દાયકામાં આવેલા હિજરતીઓની પહેલી પેઢીનાં સંતાનો મોખાની યુનિવર્સિટોઓમાં દાખલ થયાં અને ગ્રેજ્યુએટ થઈને મેડિકલ, એન્જીનીયરિંગ, ફાઈનેન્સ કે મેનેજમેન્ટ ક્ષેત્રમાં અથવા સ્વતંત્ર ધંધાની દુનિયામાં દાખલ થયાં.
- ભારતના ઘણા હિજરતીઓએ હોટેલ અને મોટેલ ઉદ્યોગમાં પોતાનો ધંધો શરૂ કર્યો કે ફાસ્ટ ફૂડ ( સેવન ઈલેવન, ડંકિન ડોનટ્સ, મેક્ડોનાલ્ડ વિ. ), ફાર્મસી વિ.ની ઘણી જાણીતી ફ્રાન્કાઈઝીઓમાં પૈસા રોક્યા.
- ઘણા યુવાન ઈજનેરો અનેક ઉદ્યોગોને આઈટી ક્ષેત્રમાં પ્રાથમિક રીતે સેવા આપવા માટે વર્ક વિસા લઈને ભારતથી અમેરિકા આવ્યા અને આઈટી ખાતાના મુખિયા બન્યા, તથા કેટલાક કેસોમાં સીઈઓ, સીટીઓ, સીએફઓ જેવી પોસ્ટ પર પહોંચ્યા.
આજે તો બ્રોડકાસ્ટિંગ, જર્નાલિઝમ, ફાઈનેન્સિયલ સર્વિસ, જાતે ઊભા કરેલા ઉદ્યોગો અને મોટા ભાગની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ભારતીય મૂળના પુરુષો તથા મહિલાઓ દેખાય એ સામાન્ય બાબત છે.
ક્રમશઃ
-
આલ્બર્ટ આઈન્સ્ટાઈનની સામાજિક-રાજકીય નિસબત
નિસબત
ચંદુ મહેરિયા
ન માત્ર વીસમી સદીના, આગામી ઘણી સદીઓના મહાન વૈજ્ઞાનિકોની પંગતમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન(૧૮૭૯- ૧૯૫૫)નો પાટલો પહેલી પંગતમાં માંડવો પડે એવું એમનું પ્રદાન છે. ગાંધીજીના જન્મ(૧૮૬૯)ના એક દાયકા પછી અને હિટલરના જન્મ(૧૮૮૯)ના એક દાયકા પહેલાં(૧૮૭૯માં) જન્મેલા આઈન્સટાઈન મહાનતમ વૈજ્ઞાનિક તરીકે તો જાણીતા છે જ પરંતુ તેમની સામાજિક-રાજકીય નિસબતને લીધે પણ તેઓ એટલા જ જાણીતા હોવા જોઈતા હતા. જોકે તેમના જીવનનું આ પાસું તેમની વૈજ્ઞાનિક સિધ્ધિઓ પછવાડે ઢંકાયેલું જ રહ્યું છે. આઈન્સ્ટાઈને ત્રણસો ઉપરાંત વિજ્ઞાનને લગતા લેખો લખ્યા છે. તો દોઢસો લેખો વિજ્ઞાનેતર વિષયો પર લખ્યા છે. તેમાં ” સમાજવાદ જ શા માટે?” જેવા લેખો પણ છે. અને આ જ બાબત તેમની જાહેર નિસબતનો પુરાવો છે.જર્મનીના ધર્મનિરપેક્ષ અને ઉદારમતવાદી યહુદી પરિવારમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મ થયો હતો. તેઓ બાળપણથી જ ભારે જિજ્ઞાસુ અને વિજ્ઞાન તરફ ઢળેલા હતા. પ્રકૃતિના રહસ્યો જાણવાની તેમને અદમ્ય ઈચ્છા હતી. જર્મન સરકારના નિયમ મુજબની ફરજિયાત મિલિટરી સર્વિસ કરવી તેમના સ્વભાવને અનુકૂળ નહોતી એટલે સોળ વરસની વયે પરિવારની પરવાનગી લઈને કાયમી ધોરણે જર્મનીની નાગરિકતા ત્યજી ઉચ્ચ અભ્યાસ માટે તેઓ સ્વિત્ઝરલેન્ડ જતા રહ્યા. મુક્ત વાતાવરણ ધરાવતા જુરિચમાં તેઓ ભણવા લાગ્યા. આ દરમિયાન તેમના વૈજ્ઞાનિક સંશોધનો પણ ચાલતા હતા.
આઈન્સ્ટાઈન ૧૭ વરસે ગ્રેજ્યુએટ થયા હતા, ૨૧ વરસે પીએચ. ડીની ડીગ્રી મેળવી અને ૪૨ વરસે ભૌતિકશાસ્ત્રના નોબેલથી સન્માનિત થયા હતા. અવસાનના સાત દસકો પછી પણ તેમની વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ વિષે વિચારતાં સમજાય છે કે તેમણે ફિઝિક્સના અધ્યયનમાં યુગાંતકારી પરિવર્તન આણ્યું હતું. દુનિયાને જોવા-સમજવાની લોકોની દ્રષ્ટિ બદલી હતી. સાપેક્ષવાદ( Theory of relativity) , સામુહિક ઉર્જાની સમાનતા, પદાર્થ અને ઉર્જા વચ્ચેનો સંબંધ, લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ ઉપરાંત સમયના ચોથા પરિમાણની શોધ તેમની મહત્વની શોધો છે. એમના શોધેલ E = mc2 સમીકરણના આધારે અમેરિકાએ અણુબોમ્બ બનાવ્યો હતો.
ડોકટરેટની ડિગ્રી છતાં આઈન્સ્ટાઈનને પ્રોફેસરની નોકરી મળી નહોતી અને તેઓ બર્નમાં આવેલ સ્વિસ પેટેન્ટ ઓફિસમાં સામાન્ય નોકરી કરવા લાગ્યા. આખરે શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ વચ્ચેની હરીફાઈમાં તેમને વતન જર્મનીની બર્લિન યુનિવર્સિટીએ પ્રાધ્યાપકની નોકરીની ઓફર કરી. જે તેમણે સ્વીકારી. ૧૯૧૪માં તે પ્રોફેસરી કરવા જર્મની ગયા ત્યારે જ પ્રથમ વિશ્વયુધ્ધ શરૂ થયું હતું. જર્મની તેમાં મોખરે હતું. આઈન્સ્ટાઈન શાંતિવાદી અને યુધ્ધવિરોધી હતા.પરંતુ તેઓ એટલા તો પ્રસિધ્ધ હતા કે તેમની પ્રતિભા અને પ્રસિધ્ધિના ડરે સરકારે તેમનો વિરોધ ચલાવી લીધો. તેઓ મુખર પરિવર્તનકામી તો હતા જ સ્પષ્ટ રાજકીય વિચારો પણ ધરાવતા હતા.
જર્મનીમાં હિટલર અને નાઝીવાદના ઉદયના ગાળામાં આઈન્સ્ટાઈન ત્યાં હતા. તેમણે યહુદીઓને બચાવવા માટે કાર્યરત સંગઠનોનું સમર્થન કર્યું હતું. કોલેજ શિક્ષણની વધતી ફી સામે તેમણે ગરીબ બાળકોને કોલેજ પછી મફત ભણાવવાનું કામ કર્યું હતું. રાજકીય સવાલો તેઓ વિજ્ઞાનના સંમેલનોમાં પણ ઉઠાવતા હતા. ૧૯૩૩માં નાઝીઓએ સત્તા કબજે કર્યા પછી આઈન્સ્ટાઈન માટે ત્યાં રહેવું જોખમી બન્યું હતું. તેઓ વિદેશોમાં વ્યાખ્યાન આપવા ગયા હતા એ દરમિયાન તેમના પુસ્તકો સળગાવવામાં આવ્યા.તેમના જીવને જોખમ હોઈ તેમણે અંગરક્ષકો સાથે રાખીને વિદેશોની યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનો આપ્યા હતા. સ્થિતિ સ્ફોટક હોઈ તેમણે બર્લિન પરત જવાને બદલે અમેરિકામાં રોકાઈ જવાનું ઈષ્ટ માન્યું. અમેરિકાના ન્યૂજર્સીના પ્રિંસટન નગરમાં તે રહ્યા.૧૯૪૦માં તેમને અમેરિકાની નાગરિકતા મળી હતી. એટલે જીવનના અંત સુધી તે ત્યાં જ રહ્યા હતા.
અમેરિકાવાસ દરમિયાન પણ તેમની જાહેર નિસબત ઓછી ન થઈ. અમેરિકાએ અણુબોમ્બ બનાવ્યો હતો. તેનો વિશ્વયુધ્ધમાં ઉપયોગ અને યુધ્ધ માત્રનો તેમનો વિરોધ હતો. પરમાણુ વૈજ્ઞાનિકોની આપાતકાલીન સમિતિના અધ્યક્ષ તરીકે પરમાણુશસ્ત્રોનો માનવીના વિનાશ માટે વપરાશના તે પ્રખર વિરોધી હતા. તેમનો વિરોધ સરકારને ખૂંચતો હતો. અમેરિકાએ વિશ્વ યુધ્ધમાં તો એક અમેરિકા અને સમાનતાના ગાણા ગાયા હતા પરંતુ દેશમાં રંગભેદ અને ભેદભાવ વ્યાપક હતાં. રોજગારના ક્ષેત્રમાં ભેદભાવ વધુ હતો. એટલે શ્યામવર્ણી અમેરિકનો બેરોજગાર હતા. ઘર, રોજગાર અને શિક્ષણમાં કાળાઓને અન્યાય અને ભેદભાવ સહેવો પડતો હતો. ૧૯૩૭માં પ્રિંસટનમાં અશ્વેત ગાયિકા અને સંગીતકાર મેરિયન એન્ડરસને તેમના અવાજ અને સંગીતથી કાળા-ગોરાઓની ખૂબ તાળીઓ બટોરી પણ રહેવા માટે હોટલ ન મળી. એટલે આઈન્સ્ટાઈને તેમને પોતાના ઘરે ઉતારો આપ્યો હતો. વિચાર અને આચાર બેઉમાં આઈન્સટાઈન સમાન હતા.
કાળાઓના સમર્થનમાં અને અમેરિકી ગોરાઓની માનસિકતા સંદર્ભે આઈન્સ્ટાઈને એક જાહેર સભામાં કહ્યું હતું કે, ” અમેરિકનોની સામાજિક દ્રષ્ટિ , માનવીય ગરિમા અને સમાનતા અંગેની તેમની સમજ માત્ર ગોરી ચામડી ધરાવતા લોકો માટે જ મર્યાદિત છે. મને મારા અમેરિકી હોવા પર પારાવાર પીડા થાય છે. કાળાઓ પ્રત્યેનું ગોરા અમેરિકનોનું વલણ મને પણ સહઅપરાધી બનાવે છે. આ મનોગ્રંથિથી હું ત્યારે જ મુક્ત થઈ શકીશ જ્યારે હું તેના વિરોધમાં મારો અવાજ બુલંદ કરીશ.”.
અમેરિકામાં ઘટતી ઘટનાઓના સમાજવાદી અને માર્કસવાદી પરિપેક્ષ્યથી વિશ્લેષણ માટે ૧૯૪૯માં શરૂ થયેલા ‘ મંથલી રિવ્યૂ’ સામયિકને આઈન્સ્ટાઈનનો ટેકો હતો. એટલું જ નહીં તેમણે તેના પ્રથમ અંકમાં જ ‘ સમાજવાદ જ શા માટે?’ મથાળે લેખ લખ્યો હતો. આ લેખમાં આઈન્સ્ટાઈને જે વ્યક્તિ આર્થિક-સામાજિક વિષયો પર નિષ્ણાત નથી તેણે સમાજવાદ વિષે લખવું ઉચિત છે? તેઓ પ્રશ્ન કરી સમાજવાદની આવશ્યકતા સમજાવી હતી. આ લેખમાં તેમણે મૂડીવાદનો વિરોધ કર્યો હતો.અને સમાજવાદની સ્થાપના કેટલીક અત્યંત કઠિન સામાજિક-રાજકીય સમસ્યાઓના સમાધાનની માંગ કરે છે તેમ પ્રતિપાદિત કર્યું હતું. મૂડીવાદી અર્થવ્યવસ્થા તેમના મતે માનવીય સંકટો અને આર્થિક અરાજકતાનું મૂળ હતું. માત્ર સમાજવાદ જ એવી અર્થવ્યવસ્થા છે જે વ્યક્તિની સામાજિક જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમ તેમનું દ્રઢપણે માનવું હતું.
આઈન્સ્ટાઈનના શિક્ષણ વિશેના વિચારો પણ તેમના અનુભવો અને નિસબતમાંથી જન્મ્યા હતા. જર્મનીમાં તેમના આરંભિક શિક્ષણ અંગે આઈન્સ્ટાઈનને લાગતું હતું કે જર્મન શિસ્તવાળી શાળામાં જ્યાં તે ભણતા હતા ત્યાં તેમને શિક્ષકો લશ્કરના લેફટેનન્ટ્ જેવા લાગતા હતા. શાળાકીય શિક્ષણ અંગે તેમના વિચારો હતા કે શાળાઓમાં ગોખણપટ્ટીને કારણે વિધ્યાર્થીઓમાં રહેલા રચનાત્મક વિચારો અને શિખવાની પ્રક્રિયા બંને ખોવાઈ ગયા છે.
જીવનના આખરી વરસોમાં આઈન્સ્ટાઈનનું કીર્તિદા કાર્ય તે બર્ટાન્ડ રસેલ સાથેનું તેમનું સંયુક્ત ઘોષણાપત્ર હતું. જેમાં તેમણે વૈજ્ઞાનિક ચેતના સાથે સામાજિક ન્યાય અને માનવીય કરુણા પણ એટલી જ જરૂરી હોવાની જિકર કરી હતી. આઈન્સ્ટાઈનની સામાજિક-રાજકીય નિસબત તેમના ઉંડા ચિંતનનો પરિપાક હોવાનું નિ:શંક લાગે છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
પતંજલિ યોગસૂત્ર – એક આચમન : અવરોધ
દિ નેશ લ. માંકડ
મહર્ષિ પતંજલિએ યોગસૂત્રના અધ્યાય સમાધિપાદમાં જણાવ્યું છે કે ચિત્તની વૃત્તોનો નિરોધ કરવો એટલે યોગ .योगश्चित्तवृत्तिनिरोधः॥२॥ નિરોધ એટલે અટકાવવું.-રોકવું -અવરોધવું .માનવમન ખુબ ચંચળ છે. પ્રતિક્ષણ અવનવા વિચાર કરે- પોતાની વૃત્તિઓ ઘડે અને એ મુજબ જીવન વ્યવહાર કરે.એમાંય આજની ભૌતિક .જીવનશૈલી તો માણસને ક્યાંય લઇ જાય છે તેની માણસને પોતાને પણ ખબર નથી.ખુબ ઓછા લોકો પોતાના આધ્યાત્મિક કલ્યાણ માટે-,એક ઉત્તમ માનવજીવન માટે વિચારે છે. અને જે વિચારે છે તેમાંથી વિકસવાની દિશામાં ઓછા સંકલ્પબદ્ધ થાય છે.
સમગ્ર સૃષ્ટિમાં તમામ પ્રાણીમાત્ર ખાય પીએ અને જીવે છે. એક માણસ જ એવું પ્રાણી છે જે વિચારી શકે કે હું મારાં શું પરિવર્તન કરી શકું ? ‘ નર માંથી નારાયણ ‘ બનવાની સંકલ્પના આપણે માણસો જ કરી શકીએ .ભગવાને માણસને બુદ્ધિ આપી જ એટલા માટે છે એટલે જ માણસ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન કહેવાય છે.પણ લાગે છે કે આપણી જીવનશૈલી કે કારણે આપણું માનવત્વ આપણાથી જોજન દૂર જતું જાય છે.
તેને માટે યોગમાર્ગનો પ્રારંભ કરવો જ પડે .અને પતંજલિ સૂત્રના ક્રમમાં જવાની દિશામાં જવું પડે.એટલે કે મનની -ચિત્તની વૃત્તિઓને નિરોધ એટલે કે અવરોધવી -રોકવી પડે.
પતંજલિ ચિત્તની વૃત્તિઓને પાંચ પ્રકારમાં વિભાગે છે.
प्रमाण विपर्यय विकल्प निद्रा स्मृतयः ॥ 6 ॥ ‘ પ્રમાણ ,વિપર્યાય ,વિકલ્પ,નિંદ્રા અને સ્મૃતિ પ્રકારની ચિત્તવૃત્તિઓને પતંજલિએ રોકવાનોs છે.- તેનો નિરોધ કરવાનો છે..
એને વિસ્તૃત રીતે સમજાવતાં કહે છે .प्रत्यक्षानुमानागमाः प्रमाणानि ॥ 7 ॥ પ્રમાણવૃત્તિના ત્રણ ભેદ છે પ્રત્યક્ષ પ્રમાણ,અનુમાન પ્રમાણ અને આગમ
પ્રમાણ -.સામાન્ય અર્થમાં કહીએ તો જાતે જોયેલું તે પ્રત્યક્ષ પ્રમાણ, પરોક્ષ સાંભળેલું કે બાંધેલું તે અનુમાન પ્રમાણ,, અને કોઈ શાસ્ત્ર કે સંત મહાનુભાવ ના વચન પ્રેરિત તેવું આગમ પ્રમાણ જે વૃત્તિ ઘડવામાં નિમિત્ત થયું હોય.
વૃત્તિનો બીજો પ્રકાર તે વિપર્યય विपर्ययो मिथ्याज्ञानमतद्रूप प्रतिष्ठम् ॥ 8 ॥ મૂળ વસ્તુને બીજા સ્વરૂપે ધરી લેવી, તેવા મિથ્યા જ્ઞાન ને વિપર્યાય કહે છે. ત્રીજા પ્રકારની ચિત્તવૃત્તિ તે વિકલ્પવૃત્તિ शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः ॥ 9 ॥ વાસ્તવમાં જેનું અસ્તિત્ત્વ ન હોય તેવા પદાર્થની ફક્ત શબ્દ આધારિત કલ્પના કરવાવાળી ચિત્તવૃત્તિ તે વિકલ્પ વૃત્તિ .
ચોથી ચિત્તવૃત્તિ તે નિંદ્રા अभाव प्रत्ययालम्बना वृत्तिर्निद्रा ॥ 10 ॥ માણસને જે સમયે કોઈપણ વિષય નું જ્ઞાન નથી રહેતું તે સ્થિતિ તે નિંદ્રા ચિત્તવૃત્તિ.એટલે કે જ્યાં જ્ઞાનનો અભાવ જ હોય.. દરેક વ્યક્તિને પોતાની પૂર્વ યાદગીરીઓ હોય જ .જયારે તે ચિત્તવૃત્તિનું સ્થાન લે ત્યારે પતંજલિ કહે છે अनुभूत विषयासम्प्रमोषः स्मृतिः ॥ 11 ॥ ભિન્ન ભિન્ન વિષયોના અનુભવો જે સંસ્કારોમાં પડેલા હોય તે કોઈ નિમિત્તથી વૃત્તિ સ્વરૂપ ધારણ કરે તે એટલે સ્મૃતિ ચિત્તવૃત્તિ..
અલબત્ત મહર્ષિ પતંજલિ એક બાબત સ્પષ્ટ કરે છે કે તમામ ચિત્તવૃત્તિ ક્લિષ્ટ અને અક્લિષ્ટ એટલે કે દુઃખ આપનારી અને દુઃખ ન આપનારી એમ બે ય પ્રકારની હોય છે
બધી જ ચિત્તવૃત્તિઓને રોકવા– નિરોધ કરવાના .મહર્ષિ બે ઉપાય સૂચવે છે.अभ्यास वैराग्याभ्यां तन्निरोधः ॥ 12 ॥ અભ્યાસ અને વૈરાગ્ય..
સામાન્ય રીતે આપણે અભ્યાસ શબ્દને શિક્ષણ કે પાઠ્યપુસ્તક સુધી જ મર્યાદિત બનાવી દીધો છે .પરંતુ પાતંજલિજીએ તો પોતાના આ સૂત્રમાં અભ્યાસની વ્યાખ્યા સ્પષ્ટ કરી દીધી છે.तत्र स्थितौ यत्नोऽभ्यासः ॥ 13 ॥ સ્વભાવથી ચંચળ એવાં મનને સ્થિર કરવા માટે વારંવાર પ્રયાસ કરવો તેને અભ્યાસ કહેવાય.
આગળના સૂત્રમાં તેઓ અભ્યાસના ઉત્તમ પરિણામની વિશ્વનીયતા પણ દર્શાવે છે. स तु दीर्घकाल नैरन्तर्य सत्कारासेवितो दृढभूमिः ॥ 14 ॥ તે અભ્યાસ લાંબા સમય સુધી ,નિરંતર ઉત્સાહપૂર્વક અને સંપૂર્ણપણે કરતા રહેવા આવે તો છેવટે પરિપક્વ – દૃઢ થાય છે.
ચિત્તવૃત્તિને નિરોધવાના બીજા ઉપાય વૈરાગ્યનો અર્થ તેઓ આ રીતે કરે છે. दृष्टानुश्रविक विषय वितृष्णस्य वशीकारसञ्ज्ञा वैराग्यम् ॥ 15 જોયેલા કે સાંભળેલા વિષયોથી મન જયારે પર કે તૃષ્ણા રહિત થઇ જાય તેને વૈરાગ્ય કહે છે. એમાં પણ तत्परं पुरुषख्याते-र्गुणवैतृष्ण्यम् ॥ 16 ॥ પોતાના જ્ઞાન થી, પ્રકૃત્તિના ગુણોમાં તૃષ્ણાનો છેક અભાવ થઇ જાય તેને ઉત્તમ વૈરાગ્ય કહે છે.
ચિત્તવૃત્તિને નિરોધ એટલે યોગ એ તો મહર્ષિ પતંજલિની યોગની પ્રાથમિક વ્યાખ્યા છે.પણ કેવો યોગ ? આગળના સૂત્રોમાં તે દર્શાવે છે.
वितर्क विचारानन्दास्मितारूपानुगमात् सम्प्रज्ञातः ॥ 17 ॥ વિતર્ક ,વિચાર ,આનંદ અને અસ્મિતા આ ચારેયના ચિત્તના સમાધાનને સંપ્રજ્ઞતા યોગ કહે છે.વળી भवप्रत्ययो विदेहप्रकृतिलयानाम् ॥ 19 ॥ સ્થૂળ શરીરના બંધન છૂટીને શરીરથી પર થવાના અભ્યાસમાં પ્રવીણ થઇ શકાય હોય તેવા યોગને ભવપ્રત્યય યોગ કહેવાય. તથા श्रद्धा वीर्य स्मृति समाधिप्रज्ञा पूर्वक इतरेषाम् ॥ 20 ॥ શ્રદ્ધા,વીર્ય,સ્મૃતિ,સમાધિ અને પ્રજ્ઞાની પણ યોગ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
કોઈપણ ઉત્તમની પ્રાપ્તિ માટે પૂર્ણ સાધના આવશ્યક છે જ .પતંજલિ પણ નિર્દેશ કરીને સાધના સિદ્ધિની ખાતરી આપે છે. तीव्रसंवेगानामासन्नः ॥ 21 ॥ જેમની સાધના ત્તીવ્ર હોય તેમને યોગની સિદ્ધિ જલદી મળી જાય છે. ફરીથી મહાશ્રી યાદ અપાવે છે કે मृदुमध्याधिमात्रत्वात्ततोऽपि विशेषः ॥ 22 ॥ સાધના સાધારણ,મધ્યમ કે અધિક હોય તો ત્તીવ્ર સંવેગવાળા યોગ સાધકોને સિદ્ધિ તરત મળી શકે.અહીં પતંજલિ સતત સાધનાનો વિશેષ આગ્રહ ખાસ સૂચવે છે.
યોગની અંતિમ પ્રાપ્તિ ઈશ્વર સમીપની છે એટલે કેન્દ્રમાં ઈશ્વર રાખીને આ સૂત્ર સંકેત આપે છે. એટલે ઈશ્વર પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા પૂર્વશરત છે..ईश्वरप्रणिधानाद्वा ॥ 23 ॥ ઈશ્વરની શરણાગતિને ઈશ્વર પ્રણિધાન કહેવાય આપણે સહુ મંદિરમાં કે મૂર્તિમાં જોઈએ છીએ તેને ઈશ્વર તરીકે જોઈએ છીએ પરંતુ યોગસૂત્રના રચયિતા પતંજલિ તો કહે છે क्लेश कर्म विपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः ॥ 24 ॥ અર્થાત જે કર્મ,ક્લેશ ,વિપાક [કર્મનું ફળ } અને આશયના સંબંધોથી રહિત તથા પુરુષોમાં ઉત્તમ છે તે ઈશ્વર છે. स एषः पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात् ॥ 26 ॥ અને એ ઈશ્વર તો પૂર્વે થઇ ગયેલા સહુના ગુરુ છે કાળ તેને સ્પર્શી શકતો નથી કે નાશ પણ કરી શકતો નથી.
દરેક શુભકાર્ય કે પવિત્ર કાર્યના પ્રારંભે ૐ કારણે આપણે સહુ પ્રાધાન્ય આપીએ છીએ. .અહીં પતંજલિ પણ ઈશ્વરની ઓળખ એ રીતે જ આપે છે.तस्य वाचकः प्रणवः ॥ 27 ॥ ૐ કર એ ઈશ્વરનું નામ છે. એટલે જ तज्जपस्तदर्थभावनम् ॥ 28 ॥ જે ૐ કારણ જાપ અને ચિંતન મનન કરે તેમને યોગસિદ્ધિ પ્રાપ્ત થાય છે.
અને પતંજલિજી કહે છે .ततः प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च ॥ 29 ॥ અને એ પ્રકારના અભ્યાસથી બધા પ્રકારના વિઘ્નો દૂર થાય છે.અને સહજમાં કૈવલ્ય દશા પ્રાપ્ત થાય છે. પણ પ્રતિક્ષણ ચંચળ માનવમનની ચિત્તવૃત્તિઓ કઈ આપોઆપ રોકાઈ કે અવરોધાય જાય ખરી ?
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
-
જૂની રંગભૂમિનાં લોકપ્રિય ગીતો : નાન્દી – દુનિયાનું દર્પંણ
જીના શેઠ


ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીનું જીવનદર્શન
“દુનિયાનુ દર્પણ”
નાટક દુનિયાનું દર્પણ રૂંડું
ગુણદોષ જોવાનું
આંતેથી જોઈ જોઈ બોધ લઈ
દિલડાનું દુઃખ ખોવાનું.જ્યાં સુંદર મનહર ગાણું
રસભરેલ રૂડું ભાણું
ભલે મૂરખડા ભસી મરે
કે ધિંગ ધિંગાણું….. નાટક…ઘડીક હસાવે ઘડીક રડાવે
બધ્ધે બોધ બતાવે
લે જેને મન જે ભાવે
જ્યમ માર્યું ત્રાબું ખાવે
રીતસર ખાવે રસ આવે
નહિં તો જમપૂરી જાવે
કરમ કૂટ ઊંધું સમજે
તો કોને કહેવાનું….. નાટક…નાટક : સતી પાર્વતી (૧૯૦૬)
રચનાર : ડાયાભાઈ ધોળશાજી ઝવેરી
શ્રી દેશી નાટક સમાજ
આસ્વાદ
૧૯૦૬માં રજૂ થયેલ ‘સતી પાર્વતી’ નાટકમાં “નાન્દી’ ગીત તરીકે રજૂ થતું. નાટકના મંગલાચરણ પછી સમગ નાટકનો કથાસાર કે નાટકના બીજની વાત જે ગીતમાં કરવામા અવતી તેને સસ્કૃત પરંપરામાં “નાન્દી-સ્તુતિ કહેવામાં આવતી. આજની ભાષામાં તમે તેને ‘થીમ-સોંગ’ પણ કહી શકો.
અ! ગીતમાં ડાહાભઈએ નાટકને દુનિયાનું દર્પણ કહ્યું છ જે આજે પણ એટલું જ માન્ય છે. નાટકની કથા સાથે, એના ભાવ સાથે સંલગ્ન થઈ શ્રોતા પોતાના દિલડાનું દુઃખ બે ઘડી માટે ભૂલી જાય છે એ ચોક્કસ વાત છે. નાટક તેની સામે એક બીજી જ દુનિયા ખોલે છે અને તેને એક નવી જ દુનિયામા લઈ જાય છે.
અ ‘દર્પણ’ રૂડું એટલા માટે છે કારણ કે એ મનોરંજન અને આનંદ આપનારું છે. એની આંતેથી (અંદરથી) એને જોઈ, અવલોકી, તમે બોધ લઈ શકો છો. દિલડાનું દુઃખ ભૂલી શકો છો. નાટક ભલે ઘડીક હસાવે, ઘડીક રડાવે પણ એ હસવા-રડવામાં બધે જ કંઈક ને કંઈક તો શીખવી જ જાય છે.
નાટકનું સ્વરૂપ જ એવું છે કે તેમાં વિવિધ રસ અનુભવવા મળે. ક્યાંક કરુણ તો ક્યાંક હાસ્યરસ, ક્યાંક શૃંગારરસ તો ક્યાંક વળી વીરરસ. આમ, નવે રસનો રસથાળ જાણે છપ્પન ભોગ પીરસાયો હોય તેમ જોનાર પ્રેક્ષકવર્ગ મટે “રસ ભરેલ રૂડું ભાણું’ થઈ પડે છે.
આવાં નાટકના ગીતો પણ કેવાં ? વિશેષણ તો જુઓ… સુંદર અને મનહર. સરસ, મનને ગમી જાય એવું, વારંવાર સાંભળવાં ગમે તેવા હોય છે.
કવિ આગળ પોતે વ્યથા ઠાલવતા! કહે છે કે પહેલાના જમાનામાં બહારવટિયાઓ ધિંગાણૂં કરતા, ધાડપાડતા, લૂંટ ચલાવતા. નાટક એ કંઈ ધિંગાણું નથી. કોઈ મૂરખને ભલે એ ખેલ કે લોકપ્રિય ભવાયાનો ધંધો લાગે, એ ભલે ગમે તેટલો બફાટ કરે, ભસી મરે પણ નાટકની જરૂરિયાત સમાજમાં છે, અને રહેશે જ. વ ભલે આ માધ્યમના દોષો જ જુએ તેથી શું?
‘લે જેને મન જે ભાવે’, ‘જ્યમ માર્યં ત્રાંબુ ખાવે’ એટલે જેમ જેની પાસે જેટલા પૈસા હોય એવું અને એટલું એ જમી શકે છે એમ જેની જેવી અને જેટલી ગ્રહણશક્તિ એવું અને એટલું એ અહીંથી મેળવી શકે છે. જે એને યોગ્ય રીતે માણે એને એવો રસ આવે, નહીંતર “જમપુરી જાજે’ એટલે નહીંતર ‘ભાડમાં જાય.’
છેલ્લે હતાશ થઈ કવિના મનમાંથી ઉદ્ગાર સરી પડે છે કે કોઈ કરમ ફૂટ્યા લોકોને ગમે તેટલું સારું, રસભર અને બોધપ્રદ નાટક બતાવો, એ એમાંથી કાઈ ખોટું ગ્રહણ જ કરે અને ઊંધું જ સમજે તો કોને કહેવાનું ? કહો કોઈ શું કરી શકે? ભાગ્ય એવાં ! આખરે તો માણસ પોતાની બુદ્ધિ, લયકાત અને સમજણ પ્રમાણે જ એમાંથી કાઈક મેળવી થકે છે ગીતામાં પણ કહ્યું છે કે य पश्यति सः पश्यति – જે જુએ છે તે જ જુએ છે.
સમીક્ષા
કોઈ જગ્યાએ તોછડી કે અશિષ્ટ લાગતી ભાષાવાળું આ ગીત જો ઊંડાણથી તપાસીએ તો એ રંગભૂમિનો મહિમા પ્રગટ કરતું દેખાઈ આવે છે. જે સમયે નાટકમાં કામ કરવાવાળાને હીન દષ્ટિથી જોવામાં આવતાં હતાં. એવા સમયે આવું ગીત લખવું એટલે? આ એ જ બતાવે છે કે આવા સુધારાવાદી વૃત્તિવાળા સજ્જન નાટ્યકાર અને કવિ જમાનાથી કેટલા આગળ હતા ! એમના મનમાં કેવી દાઝ હશે, દુઃખ હશે કે એમની અંદરની આગ એમના શબ્દોમાં દેખાઈ આવે છે.
તેઓ નાટકના ધંધામાં પડ્યા પણ નાટકને માત્ર ધંધો સમજીને ન કર્યો, પણ તેમણે નાટકને સમાજના ઉત્કર્ષના સાધન અને ઉચ્ચ સંસ્કારપ્રવૃત્તિ તરીકે અપનાવ્યું. તેમણે પ્રચલિત લોકકથાને ઉપયોગમાં લઈ તેમાં રંજન તથા બોધકથાને સુપેરે ઉપસાવી. આમ, આ ગીતમાં ગવાયેલ આદર્શ મુજબ ‘બોધ અને મનોરંજન’ એમણે પોતાના નાટકોમાં ગૂંથ્યાં હતાં. તેથી માત્ર લખવા ખાતર નહીં, પણ તે જેવું વિચારતા એવું જ આચરતા પણ દેખાય છે. તેમણે પોતાની માન્યતા પ્રમાણે નાટકો લખ્યાં અને ભજવ્યાં. તેમનો આદર્શ તેમણે જીવી જાણ્યો. ધન્ય છે એમની ભાવનાને.
લોકપ્રિય રંગભૂમિનો મહિમા
રંગભૂમિ પ્રજાના સાંસ્કૃતિક જીવનનું એક અત્યંત મહત્વનું પાસું છે. પ્રજાની સંસ્કૃતિની તે પારાશીશી છે. પ્રજાનો મિજાજ, તેના રીતિરિવાજ, તેની સામાજિક રૂઢિઓ અને રૂઢિભંગના પ્રસંગો, ધર્મભાવના અને ધાર્મિક પરંપરા, શાસકો અને શાસનવ્યવસ્થા – બધું જ તેનાં નાટકોમાં પ્રતિબિંબિત થાય છે. વળી, નાટક ‘વાસ્તવમાં શું છે’ (What it is) એટલું જ નહીં, પણ ‘શું હોવું જોઈએ’ (What it should be) તેના પર ભાર મૂકે છે.
સાહિત્યને મુકાબલે નાટક પ્રજાની વધારે સંનિકટ (Intimate) હોય છે કેમ કે, લખી-વાંચી નહીં જાણનારા પ્રેક્ષકો પણ નાટકનો રસ માણી શકે છે. તેની પ્રત્યક્ષ અસર થતી હોવાથી નવલકથા કે કવિતા કરતાં નાટકનો પ્રભાવ વધુ સઘન (Intense) હોય છે. પ્રજાના જીવન પર તેની પ્રબળ અને ચિરંજીવ અસર રહે છે તેથી રંગભૂમિનો ઉપયોગ પ્રજાની કેળવણીના સાધન તરીકે, જ્ઞાન આપનાર સંસ્થા તરીકે કે સમાજના ગુણ-દોષ દર્શાવનાર ‘દર્પણ’ તરીકે દરેક કાળમાં થયો છે. આ રીતે તેનું મહત્ત્વ દરેક કાળમાં રહ્યું છે, અને રહેશે.
સંદેશ
નાટક આપણને આપણી ઓળખ આપે છે. એ સમાજ જીવનનો અરીસો છે. નાટકમાંથી સારતત્ત્વ લઈ લોકો પોતાનું જીવન ઘડે છે તો લોકજીવનમાંથી વિષયવસ્તુ લઈ નાટકો રચાય છે. નાટકની નિંદા કરી માત્ર એનામાં રહેલા દોષો જોવાથી કાંઈ નહીં વળે. સમ્યક્ બુદ્ધિ જરૂરી છે એ માત્ર મનોરંજનનું સાધન નથી. તે આત્મનિરીક્ષણ કરવા પણ પ્રેરે છે.
દરેક પ્રજાએ આ કલાસ્વરૂપની સાચવણી અને ખિલવણી ઉપર ખૂબ ધ્યાન દેવું જોઈએ, કારણ કે એ સદાચાર અને સંસ્કાર સાથે સારા વિચારો અને નવી દષ્ટિ ફેલાવવાનું માધ્યમ છે. તેના દ્વારા કુદરતે મનુષ્યમાં જે ઉલ્લાસની અને અનુકરણની વૃત્તિ મૂકી છે તેને યોગ્ય માર્ગ મળે છે અને તેને વિકૃત થતાં અટકાવી શકાય છે.
કવિ પરિચય : ડાહયાભાઈ ધોળશાજી ઝવેરી (૧૮૬૭-૧૯૦૨)

ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી નવીન પ્રગતિશીલ વિચારોવાળાં નાટકો આપનાર બેરિસ્ટર નૃસિંહ વિભાકરે એક જગ્યાએ કહ્યું હતું કે, “શિક્ષિત લેખકો જ ગુજરાતી લોકપ્રિય રંગભૂમિનો ઉદ્ધાર કરી શકશે.” આવા જૂની રંગભૂમિના પ્રથમ શિક્ષિત લેખક એટલે ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી. તેમણે મિશન હાઈસ્કૂલમાંની સંસ્કૃત શિક્ષક તરીકેની નોકરી છોડી નાટ્યક્ષેત્રે ઝંપલાવ્યું હતું. તેઓ One man army જેવા હતા. તેમણે માલિક, સંસ્થાપક, સંચાલક, નાટયકાર, કવિ, દિગ્દર્શક અને સંગીતકાર, એમ વિવિધ રીતે ગુજરાતી રંગભૂમિમાં અર્પણ કર્યું. આમ તેઓ બધું જ જ પોતે કરતા હોવાથી પોતાની માન્યતા અને આદર્શો પ્રમાણે નાટકો ભજવી શક્યા.
તેમણે ‘શ્રી દેશી નાટક સમાજ’ – જે ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં સૌથી લાંબું જીવનારી નાટકમંડળી હતી- ની સ્થાપના કરી, કંપનીમાં નાટક અને ભજવણીનાં સૂત્રો પોતાના હાથમાં લીધાં અને જાતે નટોને તાલીમ આપી દિગ્દર્શન પણ કર્યું, તો બીજી બાજુ તેમને સંગીતની જાણકારી હોવાને લીધે પોતાનાં ગીતોનું સ્વરાંકન પણ જાતે જ કરતા. આમ, તેઓ મલ્ટી ટેલેન્ટેડ હતા સાથે મલ્ટી ટાસ્કિંગ પણ કરી જાણતા.
તેમને નાટકનો ધંધો સ્વીકારતાં સારું એવું સહન કરવું પડયું હતું. કુટુંબમાં કોઈને આ વાત પસંદ ન પડતાં. તેમને કુટુંબ છોડવું પડયું એટલું જ નહીં, પણ મિલકત પરનો પોતાનો હિસ્સો પણ જતો કરવો પડ્યો હતો. તેમના જીવન પરથી સાચ્ચે જ એ પ્રતીત થાય છે કે નાટ્ચકલા એ કંઈ ખાંડાના ખેલ નથી, કષ્ટસાધ્ય ઉપાસના છે. તેમના માટે રંગભૂમિ જ તેમનું જીવન હતી. ‘દેશી નાટક સમાજ નાટયસંસ્થા’ શરૂ કરવા પાછળનો તેમનો આશય પણ સમાજમાં બોધપ્રદ નાટકો દ્વારા સદ્દવિચાર, નીતિ અને સંસ્કારનો પ્રસાર કરવાનો હતો. આવા આદર્શ સાથે શરૂ કરેલ સંસ્થા ખૂબ પુણ્ય સાથે પૈસા કમાય એમાં શી નવાઈ ? નાટકને જીવન અને સમાજ સાથે વણી લેવામાં ‘દેશી’ અથવા ભાંગવાડીના તખ્તાનો વિશિષ્ટ ફાળો રહ્યો હતો. ડાહ્યાભાઈ સાચા અર્થમાં વિઝનરી હતા.
૧૮૯૭થી ૧૯૦૧ આસપાસ તેઓએ દુષ્કાળ પ્રસંગે કે સામાજિક કાર્યોના લાભાર્થે કોઈ પણ જાતના ખર્ચની રકમ લીધા વગર નાટકના પ્રયોગો કર્યા હતા અને આવા ફંડમાં લાખથી વધુ રૂપિયા એકઠા કરી આપ્યા હતા. આવી હતી તેમની જનકલ્યાણની ભાવના ! લોકપ્રિય આમ સમાજ પ્રત્યેની નિસબત સાથે નાટકનો કલા તરીકેનો દરજ્જો અથવા એથીય આગળ વધીને કહો કે સાધના તરીકેનો દરજ્જો આપનાર, એવું જીવન જીવનાર આવા કલાસાધકોને સાષ્ટાંગ દંડવત્ !!!
ડાહયાભાઈનું ડહાપણ
ડાહ્યાભાઈની માધુર્ય નીતરતી રચનાઓ લાંબાગાળા સુધી ગુજરાતીઓનાં રસિક જીવનમાં એકરસ થઈ ગઈ હતી, માત્ર પાંત્રીસ વર્ષની જુવાન વયે જીવનલીલા સંકેલી લેનાર ડાહ્યાભાઈની ગીતલીલા અમર છે. “રે શું માનવનું અભિમાન પલમાં ટળી જશે રે”, “નથી કર્મની કથા કદાપિ વ્યર્થ જનારી”, “કરમ કરે તે કોઈ ન કરશે, મૂરખ મથી મથી મરશે”, “સંત વિના કોણ પંથ બતાવે”, “મુસાફર, સફર તારી ટૂંકી ભલા માણસ, કંઈક કરી લે ભલાઈ”, “જગતમાં તે નરને ધિક્કાર, તજે જે પરણી ઘરની નાર, બગાડે મૂરખ તે સંસાર, ભેળવે દિવેલમાં કંસાર.”
રંગભૂમિને પોષતાં, લોકરુચિને ઘડતાં આ ગીતો લોકજીભે રમતાં-રમતાં કેટલાંય નરનારીની આંખમાં પ્રકાશની જ્યોત રેલાવી જતાં હતાં, ગુજરાતી રંગભૂમિ રહેશે ત્યાં સુધી ડાહ્યાભાઈનું નામ વિસરાશે નહીં.
અમદાવાદ હંમેશાં ઋણી રહેશે…

શ્રી ચીમનલાલ નગીનદાસ મુંબઈમાં નાટકો ભજવવા માટેનાં થિયેટરો સારાં એવાં થઈ ગયાંહતાં, પણ ઈ.સ. ૧૮૯૨ સુધી અમદાવાદમાં આવું કોઈ થિયેટર તૈયાર થયું નહોતું. શ્રી ડાહ્યાભાઈ ધોળશાજીને તેમની કંપની ‘દેશી નાટક સમાજ’નાં નાટકો માટે અમદાવાદમાં સારા થિયેટરની જરૂર હતી. તેમણે જાણીતા શેઠ શ્રી અંબાલાલ સારાભાઈના કાકા શેઠ શ્રી ચીમનલાલ નગીનદાસને સમજાવી અમદાવાદમાં ઘી કાંટા વિસ્તારમાં ‘આનંદભુવન’ નામનું થિયેટર એમની પાસે બંધાવડાવ્યું. (૧૮૯૩-૯૪માં)
આમ, નાટકો ભજવવા માટેનું એક સ્થળ મળી જતાં શ્રી ડાહ્યાભાઈએ ‘દેશી નાટક સમાજ’માં ત્રણ નવાં સારાં નાટકો તૈયાર કરાવ્યાં. આ ત્રણ નાટકો એટલે ‘ઉર્વશી’ ‘ભગતરાજ’ અને ‘વિક્રમાદિત્ય’.

રોચક વાતો
નાટકની “પહેલી રાત” – ગામનો ઉત્સવ
મુંબઈમાં નવા નાટકની પ્રથમ રાત્રિ એટલે જૂની રંગભૂમિના સમયમાં એની ‘પહેલી રાત’ કે “એનો પ્રથમ પ્રયોગ’ કહો – એ એક અનેરો ઉત્સવ ગણાતો.
એક સમજુ પ્રેક્ષકના શબ્દોમાં એનો પરિચય મેળવીએ. એ લખે છે-
નાટકની પહેલી નાઇટ એટલે કે જાણે ગામનો ઉત્સવ, કંપનીઓની મહિનાઓથી લખલૂટ ખર્ચે શાનદાર તૈયારી, નવી સીનસીનરી, ટ્રીક સાથે તૈયાર થયેલું નાટક જોવા માટે આગળી હરોળ યા ઝરૂખા કે બાલ્કનીની બેઠક માટે, બબ્બે મહિના પહેલાં કહેણ મોકલાવાઈ ગયાં હોય, એ માટે તો પડાપડી અને વગદાર શ્રીમંતો વચ્ચે ચડસાચડસી થતી.
“બા અદબ, બા મુલાયઝા હોશિયાર’ પહેલી નાઇટ થિયેટરની અંદરની છટાદાર હવાની તો શી વાત કરવી? એ જમાનામાં ઓડિટોરિયમમાં “ચાય ગરમ” “સોડા લેમન”, “ખારાં પિસ્તાં”, “ખારી બદામ”, “ચિનાઈ ચેસ્ટનટ” “ગાયનની ચોપડી” એવી ફેરિયાઓની બૂમ સંભળાય.
મરજાદી શેઠિયાઓ ઘરેથી ચા, નાસ્તો, પાણીનો ચંબુ, ચાંદીના પાનદાન વગેરે સાથે લાવે. એક મહારાજાને તો ચાંદીનો હુક્કો ગગડાવતા પણ જોયેલા. આખુંય થિયેટર આસોપાલવનાં તોરણોથી અને કેળના સ્તંભોથી શણગારવામાં આવતું.
થિયેટરની બહાર શુકનનાં બૅન્ડ વાગે, લગ્નના માંડવામાં સાજન-માજન ઊભરાતું હોય એવો રૂઆબ નાટકની પ્રથમ રાત્રિનો વર્તાતો હતો. એવા વાતાવરણમાં ત્યાં ટિકિટ વગર આવેલાને પાછા ઘરે જવાનું મન જ થતું જ નહીં એટલે ગમે તે કિંમતે ટિકિટ ખરીદવા તેઓ ફરતા દેખાતા.
આ પ્રેક્ષકો પણ એવા સાજ સજીને આવતા હતા. મખમલી અચકન રેશમી સુરવાલ, મોંઘા જરઝવેરાતમાં શોભતાં વસ્ત્રો, સોનસળીના સાફાનું લટકાવું છોગું ફરકાવતા નવાબી ઠાઠ રુઆબદાર અને શોખીન રજવાડી દબદબો કે સોનાચાંદીના બટનવાળા છપન ઈંચના ડગલાવાળો વ્યાપારી ઠસ્સો, પારદર્શક મખમલનાં કે પરમસુખનાં ધોતિયાં ને પગમાં પેટન્ટ ઘરના રાણી છાપના ચળકતા પમ્પશૂઝ ને માથે બેંગ્લોરી ટોપીવાળી મુંબઈની દમામદાર શેઠિયાશાહી, ગરમ હાફકોટ ને બાંકી ટોપીઓમાં જોવા મળતી. વાણોતરી ફૅશન. એ પછી ખમીસ અને ધોતિયામાં ને માથે ટોપી કે ફેંટા સાથે રસોઇયા, દુકાનદાર, કારીગર વગેરેની છટા કે હાથમાં ગેંડાસ્ટિક લઈને આવતા મવાલીઓ, ગુંડાઓ, દાદાઓ વગેરેનો છેલબટાઉ ભપકો. આ બધી જ સજધજ જાણે લોક દિવાળી ઊજવવા ભેળાં થયા હોય એવું ઉત્સાહી વાતાવરણ ખડું કરી દેતી.
પોતાની શાનદાર ઘોડાગાડી, કે બગીમાં કોઈ આવતું કે કોઈ ભાડૂતી વિક્ટોરિયામાં યા ટ્રામમાં તો કોઈ મોજીલા પગપાળા આવતા અને આમ સૌ કોઈ નાટકશાળાને ઉંબરે એક અનેરી રસિકોની મેદની ભરી દેતું હતું.
ક્રમશઃ
હવે પછી – નાન્દી : કુસંપે ખોયું હિન્દુસ્તાન
સુશ્રી જીનાબેન શેઠનો સંપર્ક આ વિજાણુ સરનામે થઈ શકે છેઃ jeenavsheth@gmail.com
-
‘ભારત એક ખોજ’નું સંગીત – [ ૫ ] – રામાયણ
દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ‘ભારત એક ખોજ’નું સંગીત

(એક સમયે દૂરદર્શન પરથી પ્રસારિત, શ્યામ બેનેગલ દિગ્દર્શીત, જવાહરલાલ નહેરુના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ પર આધારિત ધારાવાહિક ‘ભારત એક ખોજ’ ના સંગીતનો આસ્વાદ આ શ્રેણીમાં કરાવાયો છે. વનરાજ ભાટિયાએ તેનું સંગીત તૈયાર કર્યું હતું.)
બીરેન કોઠારી
‘ભારત એક ખોજ’ના સાતમા અને આઠમા હપ્તામાં રામાયણની કથા છે.
એપિસોડનો પ્રારંભ વાલ્મિકી ઋષિને તપમાં રામાયણની કથાની કલ્પના કરતા બતાવાયા છે. રામયણની કથાનો આપણને પરિચય ઉત્તર ભારતના રામાયણગાયકો દ્વારા કહેવાતી રામાયણ કથાના સ્વરૂપે કરાયો છે.@ ૪.૪૧ થી ૧૦.૦૦ સુધીમાં રામ સીતાના લગ્ન થવાની અને હવે રામના રાજ્યાભિષેકની તૈયારી સુધી કથા આગળ વધી જાય છે. એ પછી દૃષ્ય – શ્રાવ્ય પદ્ધતિથી કથાનકમાં વનવાસ મળવો અને વનવાસ દરમ્યાન રામના જીવનને હવે નવો વળાંક મળતો બતાવાયો છે.
સાતમો હપ્તો અહીં જોઈ શકાશે.
૨.૧૨થી આઠમા હપ્તાનો પ્રારંભ બેકગ્રાઉન્ડમાં સંગીતના સુરો સાથે વનરાજીની દૃશ્યાવલીથી થાય છે. ઋષિઓને હેરાન કરતા દાનવો સાથે રામ યુદ્ધ કરીને હરાવે છે તેનાં ગુણગાન રામાયણગાયકો કરે છે. ૩.૧૩થી ૪.૧૩ સુધી કથક્કલી નૃત્યનાં માધ્યમ વડે રામ અને દાનવો વચ્ચેનાં યુદ્ધને દર્શાવાયાં છે. એ દરમ્યાન બેકગ્રાઉન્ડમાં ઉદ્ઘોષકની કોમેન્ટરી દ્વારા આપણને એ સમયની રાજકીય અને સામાજિક પશ્ચાદભૂથી અવગત કરવામાં આવે છે. એ પછી દૃશ્ય-શ્રાવ્ય કથાનક શૂપર્ણખા દ્વારા રાવણને કરાતી ફરિયાદ અને રાવણ દ્વારા છદ્મવેશમાં આવીને સીતાનું અપહરણ દર્શાવાયેલ છે. ૧૮.૧૬થી ૧૯.૧૮ સુધી ફરીથી સરાઈકેલા છઉ લઘુનૃત્યનાટક શૈલીમાં જટાયુ અને રાવણના યુદ્ધની તીવ્રતા વાસળી અને ધામસ (મોટું નગારૂં)ના બેકગ્રાઉન્ડમાં સંભળાતા સ્વરો વડે દર્શાવાયેલ છે.
૨૧.૧૮થી ૨૧.૫૦ સુધી ફરીથી સરાઈકેલા છઉ લઘુનૃત્યનાટક શૈલીમાં રામ વિલાપનું ચિત્રણ કરાયેલ છે. ૨૫.૫૬ થી ૨૭.૫૮ સુધી સરાઈકેલા છઉ લઘુનૃત્યનાટક શૈલીમાં વાલી અને અંગદ વચ્ચેનું યુદ્ધ અને તેમાં રામની ભુમિકાનું વર્ણન કથાગાયનના સહયોગ સાથે બહુ અસરકરક રીતે ભજવાય છે. વાલી સાથેના અંતિમ સંવાદમાં રામ હવે રાજા તરીકેની પોતાની ભુમિકાને સ્વીકારીને કહે છે કે ભરત કુળના વંશજ તરીકે આ દેશની દરેક રીતે રક્ષા કરવી એ પોતાનો ધર્મ છે.
૩૦.૧૬થી ૩૦.૫૦ સુધી રામકથાગાયકોના ગાયન દ્વારા વાનરોની મદદથી રામ લંકા પર ચડાઈ કરવાની તૈયારી કરે છે તે ઇંગિત થાય છે.
એ માટેના વ્યૂહનાં પ્રથમ પગલાં તરીકે હનુમાન લંકાને સળગાવી દે એમ નક્કી થાય છે. હનુમાન દ્વારા લંકા દહનને ૩૧.૦૦ થી ૩૧.૪૭ સુધી કથક્કલી નૂત્ય દ્વારા દર્શાવાયું છે. એ પછીથી, ૩૩.૧૯ સુધી, સરાઈકેલા છઉ લઘુનૃત્યનાટક શૈલીમાં,રામકથા ગાયન દ્વારા વર્ણવાતું નૃત્ય આગળ ચાલતું રહે છે અને સુધી રામ રાવણ યુદ્ધનું નિરૂપણ કરે છે.
લમણ રાવણ પાસેથી આદર્શ રાજ્ય સાશનનો બોધ ગ્રહણ કરે છે એ સાથે રામયણનો હપ્તો પુરો થાય છે.
આઠમો હપ્તો અહીં જોઈ શકાશે.
Disclaimer:
- The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.
ક્રમશઃ
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કરણ ઘેલો – ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા : પ્રકરણ ૫ મું.

કર્ત્તા : નંદશંકર તુળજાશંકર
મહાભારતમાં પ્રસિદ્ધ થયલા હસ્તિનાપુરની પડેાસમાં જમના નદીને કીનારે દિલ્હી શહેર જે હમણાં છે, ત્યાં પહેલા રજપૂત રાજાઓ રાજ્ય કરતા હતા. છેલ્લો તુમાર વંશનો રજપૂત રાજા નિર્વંશ મરણ પામ્યો, ત્યારે અજમેરનો ચૌહાણ વંશનો રજપૂત રાજા પૃથુરાજ દિલ્હી તથા અજમેર એ બંને સંસ્થાનોનો ગાદીપતિ થયો. એ પૃથુરાજની કારકીર્દીમાં મુસલમાન લોકોના પાદશાહ શાહબુદ્દીન ઘોરીએ દિલ્હી ઉપર ચઢાઈ કીધી, અને તે પહેલી વાર પરાજિત થયો તો પણ બીજી લડાઈમાં તેનો જય થયો, પૃથુરાજ પકડાયે, અને દિલ્હી મુસલમાનોના હાથમાં ગયું.
દિલ્હીનો પહેલો મુસલમાન પાદશાહ કુતુબુદ્દીન હતો, તેણે અને તેની પછી જે પાદશાહો થયા તેઓએ દિલ્હી શહેરને ઘણું શોભાયમાન કીધું, અને રાજ્યની મર્યાદા વિસ્તારીને ઘણાએક હિંદુ રાજાઓની પરાપૂર્વથી સંઘરેલી લક્ષ્મી દિલ્હી શહેરમાં ઘસડી લાવ્યા.
ઈસવી સન ૧૨૯૬ ની દિવાળીમાં આ શહેરમાં ઘણી જ શોભા થઈ રહી હતી. લોકોએ રાત્રે બજારમાં તથા ઘેરઘેર રોશની કીધી હતી, તથા દિવસે ઘણાં ઉંચાં તથા કિંમતી લુગડાં પહેરીને તેઓ ફરતા હતા. ઘેરેઘેર ઉત્સવ થઈ રહ્યો હતો, તથા લોકો ઘણા આનંદમાં દેખાતા હતા. એ સઘળી ખુશીમાં દિલગીરીનું એક મોટું વાદળું ટંગાઈ રહેલું હતું. થોડીએક મુદત ઉપર જલાલુદ્દીન ફિરોઝને દગો કરી ઠાર માર્યો હતો. તે રાજા ઘણા નરમ સ્વભાવનો, દયાળુ, તથા શાંત ગુણનો હતો. તેના વખતમાં લોકો ઘણાં સુખી હતા. રંક અને રાય એ બંનેને પાદશાહની તરફથી સરખે ઈનસાફ મળતો હતો. કોઈના ઉપર પાદશાહના જાણ્યા છતાં જુલમ કરવામાં આવતો ન હતો, તથા ધર્મને વાસ્તે પણ કોઈને ઉપદ્રવ થતો નહીં. એથી ઉલટું સઘળા લોકોને માલુમ હતું કે નવા પાદશાહ અલાઉદ્દીનનો સ્વભાવ તેથી જુદી જ તરેહનો હતો. તેને લડાઈનો ઘણો શોખ હતો. તથા તે જાતે ઘણો બહાદુર હોવાથી એવી ફિકર રાખવામાં આવતી હતી કે તેના આખા રાજ્યમાં લડાઈ હમેશાં થયાં કરશે, અને તેથી રૈયતની ઘણી ખરાબી થશે. વળી તે સ્વભાવે ઘણો ક્રૂર, દગલબાજ તથા હઠીલો હતો, તેથી પણ લોકોને પોતાના જાનમાલની ઘણી દહેશત રહેતી હતી, તથા તેને ધર્મને વાસ્તે પણ ઘણી જનૂન હતી. તેની લુચ્ચાઈ, નિમકહરામી તથા દુષ્ટતાથી લોકો ઘણા ત્રાસ પામી ગયા હતા. તેઓને હજી સાંભરતું હતું કે જલાલુદ્દીન કેવો વિશ્વાસ રાખી કરા આગળ તેના ભત્રિજા અલાઉદ્દીનને મળ્યો; અલાઉદ્દીન કેવો ઢોંગ કરીને એકલો આવી પોતાના કાકાને પગે પડ્યો; કેવા લાડથી જલાલુદ્દીને તેને હાથ પકડીને ઉઠાડ્યો, અને તેના ગાલપર હાથ ફેરવી બોલ્યો: ‘મેં તને બચપણથી ઉછેર્યો, તારા ઉપર મેં બાપ જેવી પ્રીતિ રાખી, તથા મારા પોતાના છોકરા કરતાં પણ તારા ઉપર વધારે વહાલ રાખ્યું, તે મારા ઉપર તને કદી શક આવે જ નહીં, ‘ કેવા ક્રુરપણાથી તથા વિશ્વાસઘાતથી અલાઉદ્દીને તે વખતે પહેરેગીરને ઈશારત કીધી, તે ઉપરથી એક મહમૂદ બીન સાલેમે જલાલુદ્દીનના ખભા ઉપર તલવારને ઘા કીધો, કેવા ગુસ્સાથી જલાલુદ્દીન હોડીમાં બેસી જવા દોડ્યો, પણ તેટલામાં અખતીઆરૂદ્દીને આવીને બિચારા અશક્ત ડોસાને પકડ્યો, અને તેને ભોંય ઉપર નાંખી દઈ તેનું માથું કાપી નાંખ્યું, અને કેવા દુષ્ટ અંતકરણથી અલાઉદ્દીને પોતાના કાકાનું માથું એક ભાલા ઉપર ઘોંચીને આખા લશ્કરમાં તથા શહેરમાં ફેરવ્યું ! વળી જલાલુદ્દીનના મુઆ પછી તેની રાણી મલેકાજહાને, વગર વિચારે તથા અમીરોની સલાહ લીધા વિના, કદરખાં ઉરફે રૂકનુદ્દીન ઈબ્રાહીમ નામના તેના નાના છોકરાને તખ્ત ઉપર બેસાડ્યો, પોતાનો મોટો છોકરો અરકલીખાં જે પાદશાહનો ખરેખર વારસ હતો, તથા જે તે વખતે મુલતાનમાં હતો તેને રાણી મલેકાજહાને ઘણાએક સંદેશા મોકલ્યા અને પોતાના ભાઈ માટે મોટું લશ્કર લઈ આવવાની ઘણી અરજ કીધી. અરકલીખાં મુલતાનથી આવ્યો નહી, પણ એવો જવાબ કહેવડાવ્યો કે નદીને તેના મૂળ આગળ અટકાવી શકાય છે, પણ તે મોટી થયા પછી તેનો વોહો કોઈ રોકી શકતું નથી. અલાઉદ્દીને દિલ્હી આગળ આવી છાવણી નાંખી. કદરખાં પોતાનું લશ્કર એકઠું કરીને અલાઉદ્દીનની સાથે લડવાને બહાર આવ્યો. તેના સોબતીઓ તથા તેની તરફના અમીર ઉમરાવો તેની પાસેથી જતા રહી અલાઉદ્દીનને જઈને મળ્યા, કદરખાં પોતાની માને તથા કેટલાંક માણસોને લઈને મુલતાનમાં નાસી ગયો, તથા અલાઉદ્દીન દિલ્હીમાં પેસીને પોતાને પાદશાહ કહેવડાવવા લાગ્યો, અને પોતાના નામના સિક્કા પડાવ્યા. એ સઘળી વાત તેઓને તાજી યાદ હતી, ત્યાર પછી અલાઉદ્દીને મુલતાન શહેર તાબે કરી અરકલીખાં તથા કદરખાં એ બે શાહાજાદાઓને પકડી પોતાની પાસે લાવવાને એક મોટું લશ્કર આપી પોતાના ભાઈ અલફખાં તથા ઝફરખાને મોકલ્યા. તેઓએ મુલતાન શહેરને ઘેરો ઘાલ્યો, તે બે મહીના સુધી ચાલ્યો, આખરે શહેરના લોકોએ તથા સિપાઈઓએ મુલતાનનો કિલ્લે પાદશાહી સરદારને સ્વાધીન કરવાનું કબૂલ કીધું, પણ એટલી તેઓએ શરત કીધી કે બે શાહજાદાની જીંદગી બચાવવી, એ સરત અલફખાંએ મંજુર કીધી, અને તે પાળવા બાબત ઘણા સખ્ત કસમ ખાધા. એ પ્રમાણે તે શાહજાદાઓને પોતાના હાથમાં લઈ સઘળી હકીકત એણે અલાઉદ્દીન પાદશાહને કહેવડાવી.
પાદશાહ ઘણો જ ખૂશ થયો. તેની ઘણી લાંબી મુદતની ધારેલી મતલબ હવે હાંસલ થઈ. હવે તેના હક્ક વિષે તકરાર ઉઠાવનાર કોઈ રહ્યું નહી. શહેરમાં માટે આનંદોત્સવ પોતાના ખરચથી કરાવ્યો, અને એકલા મુસલમાનોને જ તેણે પૈસા આપી રાજી કીધા નહી, પણ પોતાની હિંદુ રૈયતને પણ તેઓનાં દેવાલયોમાં તેઓના ધર્મ પ્રમાણે ભક્તિ કરી પોતાની ફતેહ તથા સુખાકારી તેઓના દેવ પાસે માગવાનો હુકમ કીધો. તેણે મુખ્ય મુખ્ય બ્રાહ્મણોને બોલાવી તેઓની ક્રિયા કરાવવાને જેટલો ખરચ બેસે તે સઘળો પુરો પાડ્યો. એ અધર્મ જોઈને બીજા મુસલમાનોને ઘણો ગુસ્સો લાગ્યો, અને કાફર લોકોના ધર્મને ઉત્તેજન આપ્યું, તથા ખોટા દેવોની પ્રાર્થના કરાવવાથી ખરો ખુદા ઘણો કોપાયમાન થશે એમ સમજી, બ્રાહ્મણોને પૈસા ન આપવા માટે પાદશાહને ઘણો સમજાવ્યો. અલાઉદ્દીનની મરજી બધા લોકોને ખુશ કરવાની તથા સઘળાઓની પ્રીતિ સંપાદન કરવાની હતી, તેથી તેણે તેઓની વાત કાને ધરી નહીં. અગર જો મુસલમાનો પાદશાહની હઠીલાઈથી ઘણા નાઉમેદ થઈ ગયા તો પણ એ કામ ઉપર તેઓનો ક્રોધ કાયમ રહ્યો, તથા તેઓએ કોઈ પણ રીતે હિંદુઓ સાથે ટંટો કરવાનો ઠરાવ કીધો, તે દહાડે દિલ્હીની સઘળી મસજિદોમાં વાએજ કરાવવાને તથા અલફખાંના મોકલેલા ફતેહના સમાચારનો કાગળ વંચાવવાનો પણ હુકમ થયો હતો. દિવાળીને દહાડે મુસલમાનેને જુમાનો પાક દહાડો હતો તેથી તે જ દિવસે એ પાદશાહનો હુકમ અમલમાં આવ્યો. સઘળી મસજીદોમાં બપોરે બાર વાગતે બાંગ પોકારવામાં આવી, તે સાંભળીને શહેરના તમામ મુસલમાન લોકો સારાં સારાં લુગડાં પહેરીને તથા પોતાનાં છોકરાંને સાથે લઈને પાસેની મસજિદોમાં જવા નીકળ્યા. હિંદુઓનાં દહેરાંઓમાં પણ ઘણી ધામધુમ થઈ રહી હતી, દરેક દેવાલયમાં ઘણાએક બ્રાહ્મણો મોટા મોટા ઘાંટા કાઢીને મંત્ર ભણતા હતા, તથા જે પૈસા મળ્યા હતા તેનો બદલે વાળતા હતા, હજારો લોકો દર્શન કરવાને જતા હતા. દહેરાં ઘણાં શણગારેલાં હતાં, તથા ત્યાં લોકોની ઘણી જ ભીડ થઈ રહી હતી, એવા એક મોટા નામાંકિત દેવસ્થાનમાં બીજાં બધાં દહેરાં કરતાં લોકોનો વધારે જમાવ થયો હતો, તથા ત્યાં બ્રાહ્મણો ઘણા હોવાને લીધે શોરબકોર પણ પુષ્કળ થઈ રહ્યો હતો. એવામાં ત્યાંથી એક મુસલમાનોનું ટોળું મસજિદમાં જતું હતું, તેઓને આ સઘળે ઠાઠમાઠ જોઈને એટલે તો ગુસ્સો ચઢ્યો, તથા કાફર લોકોના ઢોંગી તથા નાપાક ધર્મને આટલી આબરૂ મળવાથી તેઓને એટલો તો ક્રોધ ચઢ્યો કે તેઓએ સઘળા હિંદુઓના દેખતાં તેઓના દેવને ઘણી ગાળ દીધી, તથા કેટલાએક બ્રાહ્મણને ડાંગવતી માર્યા, હજી હિંદુઓ છેક નિર્બળ ભાજીખાઉ થઈ ગયલા નહતા, તેઓમાં હજી શૂરાતન બાકી રહેલું હતું, તેથી આ ગાળો, દેવને અપમાન, તથા ડાંગનો માર તેઓ ઢોરની પેઠે ધીર રાખી ખમી રહ્યા નહીં. તેઓમાંથી કેટલાએક, મુસલમાનો ઉપર તુટી પડ્યા. અને ત્યાં સારી પેઠે મારામારી થઈ. મુસલમાનો થોડા, અને હિંદુઓ ઘણા, તેથી મુસલમાનોનું કાંઈ ચાલ્યું નહી, તેઓએ ઘણો માર ખાધો, અને બે ત્રણ જણ મરવા જેવા થઈ ગયા. શહેરમાં આ લડાઈની બુમ ચાલી, મુસલમાઓ ગલીએ ગલીએ તથા ચકલે ચકલેથી તથા મસજિદોમાંથી હથિયારબંધ દોડી આવ્યા, તેમ જ હિંદુઓનો પણ ઘણો જમાવ થઈ ગયો. શહેરમાં સઘળાએાએ પોતાનાં બારણાં બંધ કરી દીધાં, તથા હવે શું થશે એ વાતની તેઓ ભારે ફિકરમાં પડ્યા, લડાઈ તો ભારે ચાલી, લાકડી, તલવાર, ખંજર, પથ્થર, ઘરનાં નળીયાં, વગેરે જે જે હથિયાર લોકોના હાથમાં આવ્યાં તે લઈને લડવા લાગ્યા. ત્યાં ઘણો જ ગડબડાટ થઈ રહ્યો. હિંદુઓ તથા મુસલમાનો સેળભેળ થઈ ગયા; અને જેને દાઢી હોય તેને હિંદુઓએ અને દાઢી વગરના હોય તેને મુસલમાન લોકોએ દયા લાવ્યા વિના ઘણો જ માર માર્યો, બંને તરફના ઘણાએક માર્યા ગયા; કેટલાએક મરણતોલ જખમી થયા; કેટલાએક થાકીને ભોંય ઉપર પડ્યા, તેઓ લોકોના પગ તળે છુંદાઈને મરણ પામ્યા. લડાઈનો શોરબકોર,ઘાયલ તથા મરતા માણસોની ચીસાચીસ, તથા બીજાઘણીએક તરેહના અવાજથી ત્યાં કાન બહેર મારી જતા હતા, મુસલમાનો તથા હિંદુઓનાં ટોળે ટોળાં આવ્યાં જ જતાં હતાં; અને જો અલાઉદ્દીન પાદશાહને એ વાતની ખબર પડી નહોત, તથા તેણે લડાઈનું સમાધાન કરવા તથા બંનેના જે લોકો આગેવાન હોય તેઓને પકડી પોતાની હજુરમાં લાવવાને એક લશ્કર મોકલ્યું ન હોત, તો આ લડાઈનો ક્યારે પાર આવત તે કહેવું મુશ્કેલ હતું.
પાદશાહનું લશ્કર આવતું જોઈને લડનારાઓમાંથી ઘણાએક નાસી ગયા, કેટલાએક પાસેનાં ઘરમાં ભરાઈ ગયા, અને કેટલાએક ઓટલા ઉપર અમે લડવામાં સામેલ નથી, એમ જણાવવાને બેસી ગયા, મુસલમાનોના કરતાં હિન્દુઓને વધારે દહેશત લાગી, તેથી તે લોકોમાંથી વધારે સટકી ગયા, લશ્કર આવતાં જ તેના સરદારે હુકમ કીધા કે લડાઈ એકદમ બંધ કરવી, અને હથિયાર ભોંય ઉપર નાંખી દેવાં. લડનારાઓ લાચાર થઈ ગયા, અને હવે વધારે લડવામાં કાંઈ ફાયદો નથી એમ જાણીને તે ઉપરીનો હુકમ માથે ચઢાવીને ઉભા રહ્યા. ત્યાર પછી તે લશ્કરના સરદારે તેઓમાંથી મુખ્ય મુખ્ય માણસોને પકડી લીધા, અને તેઓને બાંધીને પાદશાહની આગળ લઈ જવાને તેઓ નીકળ્યા, પકડાયલા માણસોમાં મુસલમાનો કરતાં હિન્દુઓ વધારે હતા, અને તેઓને ભય પણ વધારે હતો. તેઓ પોતાના જીવની આશા મુકીને ચાલતા હતા, અને જે બને તે ખમવાને તેઓ તૈયાર થઈ રહ્યા હતા. થોડીવારમાં તેઓ સઘળાને પાદશાહ અલાઉદ્દીનની હજુરમાં ઉભા રાખ્યા. તે દહાડે દરબાર ભરપૂર ભરાયલું હતું. પાદશાહની સેનાના હીરાજડેલા તખ્ત ઉપર બેઠો હતો. તેનો પોશાક તથા ઝવેર જોતાં આંખ જંખવાઈ જાય એટલો તે શણગારાયલો હતો. સોનું, હીરા, મોતી, માણેક વગેરે રત્નોની કાંઈ જ કસર રાખવામાં આવી નહતી, તેના દબદબામાં કાંઈ શોભા ઉપર જરાપણ લક્ષ આપવામાં આવ્યું નહતું. તેના શણગારનો ઈરાદો શોભા અાપવા કરતાં તેની અગણિત દોલત લોકોમાં પ્રસિદ્ધ કરવાનો વધારે હતો, અને દોલત પણ તેણે બુશુમાર મેળવી હતી, કોઈ પણ પાદશાહની પાસે તખ્ત ઉપર બેસતી જ વખતે એટલું ધન હશે એમ તવારીખ ઉપરથી જણાતું નથી. તેણે સૌથી પહેલાં દક્ષિણ તરફના દેશો ઉપર ચઢાઈ કીધી હતી, અને ત્યાંની ઘણા કાળની એકઠી થયલી દોલત તે લૂંટી લાવ્યો હતો. મુસલમાન ઇતિહાસકર્તા લખે છે કે કે જ્યારે જલાલુદ્દીન ફિરોઝના રાજ્યમાં તેણે દેવગઢનું રાજ્ય જીત્યું, ત્યારે ત્યાંના રાજાએ તેને શાંત કરવાને છસેં મણ મોતી, બે મણ હીરા, માણેક, લીલમ, અને પોખરાજ, એક હજાર મણ રૂપું, અને ચાર હજાર રેશમનાં થાન નજર કીધાં, અને તેની સાથે બીજી પણ ઘણીએક કિમતી વસ્તુઓ આપી. અગર જો આ લખાણમાં મુસલમાન લોકોની રીત પ્રમાણે અતિશયોક્તિ તો ઘણી હશે, તો પણ તે ઉપરથી એવું જણાય છે કે દક્ષિણમાંથી તે બેશુમાર દ્રવ્ય હરી લાવ્યો હતો. તેણે તેના રાજ્યમાં એ કરતાં પણ વધારે દોલત મેળવી, તે એટલી કે એના જેવો બીજો કોઈ પણ પાદશાહ ધનવાન નહતો. એ દ્રવ્યનો તે ઉપયોગ પણ ઘણો કરતો. તેની શોભાનો કાંઈ પાર નહતો. તેના ઘરનો ખરચ પણ આશ્ચર્યકારક હતો. તેની પાસે માત્ર ખાનગી ઘરના ચાકરો સત્તર હજાર હતા, એ ઉપરથી જ તેનો બીજો વૈભવ કેવી તરેહનો હશે એનો વાંચનારાઓએ ખ્યાલ કરવો.
એવી રીતે અલાઉદ્દીન ખિલજી તે દહાડે બિરાજેલો હતો. તેનું મ્હોં એવું મોટું અને વિક્રાળ હતું, કે તેને જોઈને સઘળાને ત્રાસ લાગ્યા વિના રહે જ નહી, તથા તેને આબરૂ આપ્યા વિના પણ ચાલે નહી. તેને આવી વખતે હિન્દુસ્તાનમાં ફિતૂરી લેકે ઉપર મજબૂત રીતે તથા સખતીથી રાજદંડ પકડવાને જ પરમેશ્વરે સરજેલો હોય એમ દેખાતું હતું. તેની આંખ ગોળ તથા ઘણા તેજથી વાઘની આંખની પેઠે જ ચળકતી હતી, અને તેમાં દયા કે ક્ષમાની કોઈ પણ નિશાની માલમ પડતી નહતી, તેનું આખું શરીર એવું પ્રૌઢ તથા કૌવતદાર હતું, કે તેને જોઈને મોટામાં મોટા અમીરો પણ થરથર કાંપતા હતા, અલાઉદ્દીન ખિલજીનો એટલો ત્રાસ હતો કે તે આજ પણ ગુજરાતનાં ગામોમાં અલાઉદ્દીન ખુની એ નામથી ઓળખાય છે. તેની આસપાસ મોટા મોટા અધિકારીઓ બેઠેલા હતા, એક તરફ તેનો વજીર ખાજા ખતીર હતો, તે તેના વખતમાં ઘણો સદ્દગુણી માણસ ગણાતો હતો; અને બીજો દીવાની અદાલતનો મુખ્ય ન્યાયાધીશ કાઝી સદ્રુદીન એરીફ ઉર્ફે સદ્રેજહાન હતો. ઉમદતુલમુલ્ક, મલેક હમીદુદ્દીન અને મલેક અયઝુદ્દીન એ બંને ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી મુનશી બેઠેલા હતા. બીજી તરફ દિલ્હીનો કોટવાળ નુસરતખાં હતો, બીજો મલેક ફક્રુદીન કચી, ફોજદારી અદાલતનો મુખ્ય ન્યાયાધીશ હતો, અને મુખ્ય મુનશી મલેક ઝફરખાં હતો, એ સિવાય બીજા ઘણાએક અમીર ઉમરાવો, સૂબાઓ, કાઝીઓ, મોલવીઓ, લશ્કરના સરદારો, ફકીરો, દર્વેશો, તથા બીજાં ઘણાએક માણસો હતાં.
એવા દરબારમાં તે પકડાયલા ફિતૂરી લોકોને લાવી ઉભા રાખ્યા. પાદશાહે તેઓનો ઈનસાફ કરવાનો તથા જે અપરાધી ઠરે તેઓને શિક્ષા કરવાનો હુકમ કીધો. તે પ્રમાણે ફોજદારી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ફક્રુદીન કચીની પાસે તેઓને લઈ આવ્યા. તેણે તે વખતે સઘળાના હાજર જામીન લઈ છોડી મુક્યા, અને બીજે દહાડે હાજર રહેવા ફરમાવ્યું. ઠેરવેલે વખતે સઘળા કેદીઓ હાજર થયા, તેઓની પાસેથી પુછપરછ કરી લડાઇ થવાનું કારણ તથા તેને લગતી સઘળી હકીકત ફક્રુદીને જાણી લીધી, ઈનસાફની આંખે જોતાં તો સાફ હતું કે મુસલમાન લોકોએ કજીઓ ઉઠાવ્યો, તેઓએ પહેલાં હિંદુઓના દેવોનું અપમાન કીધું, તથા કેટલાએક હિંદુઓને માર્યા, પછી હિંદુ લોકોએ સામા થઈ તેઓને માર્યા, એ તેઓએ ન્યાયાધીશની નજરમાં એક મોટી ચુક કીધી, અસલ જ્યારે રાજ્ય સ્થાપન થયાં ત્યારે જબરાની સામા નબળાનું રક્ષણ કરવું એ રાજ્ય કરનારનો મુખ્ય ધર્મ હતો, અને રાજ્ય સ્થાપવાનો એ જ હેતુ હતો, જે સઘળા પોતપોતાની મરજી પ્રમાણે જે તેઓની નજરમાં ગુન્હો લાગે તેનું વેર લે, તો જનસમાજનું બંધારણ તુટી જાય, લોકો એક રાની પશુઓનાં ટોળાં જેવા થઈ જાય, જાનમાલની સલામતી રહે નહી, અને માણસના સુખનો નાશ થાય એટલું જ નહી, પણ તેઓનો પણ થોડી મુદતમાં અંત આવે. માટે જે ઠેકાણે સારા બંદોબસ્તવાળું રાજ્ય છે, ત્યાં ખાનગી રીતે વેર લેવાનો કોઈને અખતિયાર નથી. જે માણસને નુકસાન લાગ્યું હોય તેણે પોતાની મેળે જ કાયદાનો અમલ કરી સામાને પોતાની મરજી પ્રમાણે શિક્ષા કરવાને બદલે રાજાની આગળ ફરિયાદ કરવી અને તે રાજા ત્રાહિત માણસ હોવાથી તેને બેમાંથી કોઈ ઉપર ઘણું કરીને દુશ્મની હોતી નથી, તથા બે દુશ્મનો વચ્ચે જે જુસ્સો તથાં અંટસ ઘણું કરી હોય છે, અને તેથી તેઓની વિવેકબુદ્ધિ ઉપર જે પડદો વળી જાય છે, તેમ રાજાને થતું નથી. તે હમેશાં નિષ્પક્ષપાત તથા શાંત વૃત્તિનો હોવો જોઈએ, તેથી તે બંનેનો ગુન્હો તપાસવાને, તેઓમાંથી વધારે કસૂર કોની છે તે શોધી કાઢવાને, તથા જેનો ગુન્હો માલમ પડે તને ઘટતી શિક્ષા આપવાને વધારે લાયક છે. અગર જો આ રસ્તો વાજબી છે, તથા તેના ઉપયોગ અને ફાયદા સઘળા માણસો કબુલ કરે છે, તો પણ લોકો હમેશાં તે પ્રમાણે કરતા નથી; અને જ્યારે તેઓ તેમ કરે છે ત્યારે પણ એ વાત સઘળાને ફાયદાકારક છે એમ સમજીને નહી, પણ તેઓને વેર લેવાની શક્તિ હોતી નથી તેથી તેઓ આ રસ્તે પકડે છે તેનું કારણ સમજવું ઘણું મુશ્કેલ નથી. માણસોમાં પરમેશ્વરે પશુઓ અને બીજાં કનિષ્ટ પ્રાણીઓની પેઠે કેટલીએક પ્રેરણાઓ મુકેલી છે, તેની સામે વિવેકબુદ્ધિનું ઘણી વખતે કંઈપણ ચાલતું નથી. એ પ્રેરણા પ્રમાણે માણસો ઘણાંએક કામો કરે છે તેમાં વિચાર કરવામાં આવતો નથી, અથવા તેમ કરવાને વખત પણ મળતો નથી. દુ:ખને બદલે દુ:ખ દેવું એ એક સઘળાં પ્રાણીઓમાં પ્રેરણા છે, ખામોશ અને ક્ષમા વિચારશક્તિવડે જ ઉત્પન્ન થાય છે. જ્યારે એ પ્રેરણાને જીતવાનો અને પોતાની મદદે વિવેકબુદ્ધિને બોલાવવાનો વખત મળે છે ત્યારેજ ખામોશ, દયા, ક્ષમા, કામમાં આવે છે. પણ સઘળાં માણસોને એ સ્વભાવિક પ્રેરણા જીતવાને મનનું સામર્થ્ય હોતું નથી; માટે જ્યારે તેઓને કોઈ પણ પ્રકારે ઉપદ્રવ પહોંચે છે ત્યારે તુરત તેનો બદલો વાળવાની જ તેઓની વૃત્તિ થઈ જાય છે. તે વખતે તેઓને રાજા અથવા કાયદાનું કાંઈ પણ ભાન રહેતું નથી; તે વિચાર પાછળથી આવે છે. આ પ્રમાણે કરવું એટલું તો સાધારણ તથા સ્વાભાવિક છે, અને તેથી ઉલટું ચાલવું એટલું તો મુશ્કેલ છે, કે કાયદા કરનારાઓએ કાયદા કરતી વખતે એ વાત ધ્યાનમાં લીધેલી જ છે; કારણ કે જ્યારે કોઈ ગુન્હેગારના ઉપર પહેલાં કાંઈ છેડખાઈ થઈ હોય, અથવા તેને ગુન્હો કરવાને સામા માણસે કાંઈ મજબુત કારણ આપ્યું હોય ત્યારે તેને શિક્ષા કરતી વખતે તે આગળની સઘળી હકીકત ઉપર વિચાર કરવામાં આવે છે, અને જે પ્રમાણે આગલાં કારણો મજબુત અથવા નબળાં હોય તે પ્રમાણે તેને વધારે અથવા ઓછી સજા કરવામાં આવે છે. તેને શિક્ષા તો થવી જોઈએ, અને તે પ્રમાણે થાય છે. તેની સ્વાભાવિક પ્રેરણાને લીધે તેને માફી તો મળતી નથી, પણ તે ઉપર ધ્યાન પહોંચાડીને શિક્ષામાં ઘટાડો કરવામાં આવે છે. હિંદુઓ શિક્ષાને પાત્ર તો હતા. તેઓએ લોકોની સુલેહમાં ભંગ કીધો, તેએાએ ઘણા મુસલમાનોના પ્રાણ લીધા તથા ઘણાએકને જખમી કીધા; તેને માટે તેઓને સજા તો થવી જ જોઈએ. પણ તે જ પ્રમાણે મુસલમાનેએ વગર કારણે હિંદુઓના જીવને દુખવ્યા તથા પોતાની પાસેની લાકડીને પ્રસંગવિના ઉપયોગ કીધો, તથા પાછળની મારામારીમાં પણ તેઓએ બન્યું તેટલું બળ વાપર્યું અને તેઓના હાથથી થોડા હિંદુઓ માર્યા ગયા તે તેઓની ખામોશીને લીધે નહી પણ તેઓનું સામર્થ્ય એાછું હોવાને લીધે જ બન્યું. માટે તેઓનો ગુન્હો પણ હિંદુઓના જેટલોજ હતો, અને તેઓને પણ તેટલીજ સજા થવી જોઈતી હતી, એવું આપણે ઈનસાફની રાહે ધારીએ ખરા, પણ મુખ્ય ન્યાયાધીશ ફક્રુદીનનો વિચાર એ પ્રમાણે ન હતો. મનુષ્યના ડરને નહી ગણકારતાં ફક્ત ઈશ્વરનો જ ડર રાખી અદલ ઈન્સાફ આપવો એવો કાંઈ તેને ઉદ્દેશ ન હતો, તેની અદાલતમાં ઈનસાફનું જે ચિત્ર કાઢેલું હતું તે આંધળું ન હતું; તેને એક આંખ હતી તે મુસલમાન લોકોને જ જોતી હતી, તેના એક હાથમાં અદલનો જે કાંટો હતો તે સમતોલ થયલો ન હતો; પણ જે પલ્લામાં મુસલમાન હતા તે પલ્લું નીચે ઝોકતું હતું; તેના બીજા હાથમાં જે તલવાર હતી તે માત્ર બિચારા હિંદુઓનેજ મારવા કીધેલી હતી. તેજ પ્રમાણે ઈનસાફના ખાવિંદની આંખ ઉપર પોતાના જ ધર્મનો પડદો વળેલો હતો, તથા મન ઉપર જાતિનાં જાળાં પથરાયલાં હતાં, તેથી તેણે વિચાર્યું કે પાદશાહે કાફર મૂર્તિપૂજકોને પૈસા આપી તેઓનાં શેતાન દહેરાંઓમાં ધામધુમ કરાવી તે જોઈને હરેક સાચા મુસલમાનોને ગુસ્સો આવ્યા વિના રહે જ નહીં. માટે જે મુસલમાનોએ હિંદુઓના દેવનું અપમાન કીધું, તથા કાફરોને ડાંગવતી માર્યા તેમાં તેઓએ ખોટું કીધું નથી. તેઓને કરવું પડ્યું તે પાદશાહના અધર્મી કામને લીધે કરવું પડ્યું. માટે જે મુસલમાન લડાઈમાં માર્યા ગયા તેનું પાપ પાદશાહને શીર છે, કાફર હિંદુઓ મુઆ તેમાં તો ઘણી ફિકર હોય જ શેની? તેઓ દુનિયામાં કાંઈ કામના નથી. તેઓ આખર તો દોઝખમાં જવાના જ હતા, ત્યારે જરા વહેલા ગયા, અને પાપ કરતા ઓછા થયા, મુસલમાનોને હિંદુઓએ માર્યા એ તેઓએ મોટામાં મોટો ગુન્હો કીધો, અને તેથી તેઓને મોટી સજા કરવી જોઈએ, એવો વિચાર કરી ફક્રુદ્દીન ન્યાયાધીશ બોલ્યોઃ– “લડાઈ ઉઠાવનાર મુસલમાન લોકો હતા એ વાત ખરી છે, પણ જેઓએ એ પ્રમાણે કીધું તેઓ આ પકડી લાવેલા મુસલમાન છે, એમ માલમ પડતું નથી, માટે તેઓ નિરપરાધી છે. જે હિંદુઓ આ ઠેકાણે ઉભેલા છે તેઓ મારામારીમાં સામેલ હતા, અને તેઓને લીધે આટલા બધા મુસલમાન લોકો માર્યા ગયા, માટે તેની સજા એટલીજ કે “જે દહેરા આગળ લડાઈ થઈ તે દહેરા આગળ તમને પચીસ હિંદુઓને ભોંયમાં અર્ધા દાટવા અને તમામ મુસલમાનોએ ઈંટ, પથ્થર, બેદાં વગેરેનો તમારા ઉપર માર ચલાવવો, એટલે સુધી કે તે મારથી તમારો પ્રાણ જાય, ”આ હુકમથી અદાલતમાં જેઓ બેઠેલા હતા તેઓના મન ઉપર તેઓની જાત પ્રમાણે જુદી જુદી અસર થઈ, જેઓ મુસલમાન હતા તેઓ આ હુકમ સાંભળીને ઘણા જ ખુશ થયા, અને કાફરોએ પાક દીનવાળાઓ ઉપર હાથ ઉપાડ્યો તેને માટે જેવી સજા તેઓને ઘટતી હતી તેવી જ તેઓને મળી એમ જાણી ન્યાયાધીશની વિચારશક્તિ તથા નિષ્પક્ષપાતપણાની બેહદ તારીફ કરવા લાગ્યા. એથી ઉલટું જેઓ હિંદુ હતા તેઓ આ સજા સાંભળીને ઘણા જ દિલગીર થયા, અને આજે એમને અને કાલે આપણને એમ સમજી તેઓ ઘણા ત્રાસ પામ્યા. કેદીઓ ન્યાયાધીશનો આ ગેરવાજબી, દુષ્ટ તથા પક્ષપાત ભરેલો હુકમ સાંભળીને જડભરત જેવા થોડીવાર થઈ ગયા, અને કેટલીએક વાર પછી તેઓએ ન્યાયાધીશને જાહેર કીધું કે “ખુદાવંદ! જો લઢાઈ ઉઠાવનાર આ હાજર કીધેલા મુસલમાન ન હતા, તો લઢાઈમાં પહેલા સામેલ થનાર અમે પણ ન હતા. જે પ્રમાણે મારામારી થયા પછી તે લોકો આવ્યા હશે તે પ્રમાણે અમે પણ પછવાડેથી આવ્યા હતા; માટે તેઓના કરતાં અમારો અપરાધ શા કારણથી વધારે છે એ અમારાથી સમજાતું નથી.” ન્યાયાધીશથી એ કારણ બતાવી શકાય એવું નહતું, તેના ધર્માંંધપણા સિવાય બીજું કાંઈ પણ કારણ નહતું, પણ તે કારણ તેને પૂછવાની એ લોકોએ હિંમત ચલાવી એટલા જ ઉપરથી તે કોપાયમાન થયો, અને જુસ્સામાં બોલી ઉઠયો કે “તમે પહેલી લડાઈ શરૂ કીધી કે નહી તેની તજવીજ કરવાની મારે કાંઈ જરૂર નથી, તમે લડાઈમાં સામેલ હતા, તેથી તમારા હાથથી મુસલમાન લોકોના જીવ ગયા એટલો અપરાધ બસ છે, અને એટલા જ ઉપરથી તમને જે શિક્ષા કીધી છે તે તમને જોઈએ તે કરતાં ઓછી છે. માટે તેઓને જલદીથી લઈ જાઓ, અને સજા અમલમાં લાવી મને તુરત ખબર આપો.” એવો તેણે તેના માણસોને હુકમ આપ્યો, તે બિચારા હિંદુઓને વધારે બોલવાનો વખત મળ્યો નહીં તેઓને ઘસડીને અદાલતની બહાર લઈ ગયા, અને જે દહેરા આગળ તે હુલ્લડ થયું હતું ત્યાં તેઓને ઉભા રાખી પચીસ હિંદુઓને માટે પચીસ ખાડાઓ ખોદાવ્યા,
એ ઠેકાણે જે ભયંકર બનાવ બન્યો તેનું યથાસ્થિત વર્ણન કરવું અશક્ય છે, ત્યાં દુષ્ટ અને લોહીના તરસ્યા હલકા મુસલમાનોનું ટોળું મળેલું હતું. તેઓ સઘળા રાક્ષસની પેઠે આનંદભેર દેખાતા હતા. તેઓએ પથ્થર, ઇંટ, સડેલાં ઈંડાં વગેરે ઘણુંએક ફેંકવાની વસ્તુઓ તૈયાર રાખેલી. હતી. તે દુષ્ટ ચંડાળોમાં તેઓના ધર્માંધપણાને લીધે ઈનસાફ કે દયા. કાંઈ પણ જણાતી નહતી, પણ તે બિચારા નિરપરાધી હિંદુઓનું આ ભયંકર મોત જોવાને ગીધ તથા રાની પશુની માફક ઉમંગથી ઉભા હતા. ત્યાં હિંદુઓ તો કોઈ જ આવ્યા નહીં. માત્ર તે પચીસ અભાગિયા લોકોનાં બઈરાંછોકરાં તથા સગાંવહાલાં તેઓને છેલ્લીવાર મળવાને આવ્યાં હતાં, પણ મરતી વખત આ દુનિયામાં જે વહાલાં હોય છે તેઓની મુલાકાતથી જ મરનારને થોડું સુખ થાય છે તે સુખ પણ તેઓને મળ્યું નહી; બઈરાંછોકરાં વગેરેને કેદીઓ પાસે આવવા દીધાં નહીં. તેઓ આઘેથી રડારડ કરતાં હતાં, તથા બીજી ઘણીએક રીતે તેઓનો શોક બતાવતાં હતાં, તે જોઈને મુસલમાનોને ઉલટો આનંદ થતો હતો અને તેઓ તે કેદીઓ ઉપર તથા તમામ હિંદુઓ ઉપર ગાળોનો વરસાદ વરસાવતા હતા, એ ગાળો તથા અપમાન અને પોતાનાં પ્યારાં સગાંઓનો વિલાપ સાંભળીને તે બિચારા કેદીઓનાં અંતઃકરણ વીંધાઈ જતાં હતાં; પણ લાચાર, શું કરે ? માટે તેઓ ખરા દિલથી પરમેશ્વર પાસે એટલું જ માગી લેતા હતા કે તેઓનું મોત જલદીથી આવે, તથા તેઓના શત્રુઓ જેઓ માણસના આકારે રાની હિંસક પશુના જેવા નિર્દય હતા તેઓનાં સસ્ત્રમાં વધારે શક્તિ આવે.
મુખ્ય કોટવાલે ઈશારત કીધી એટલે તે બિચારા નિરપરાધી હિંદુઓ ઉપર પથ્થર, ઈંટ વગેરે હરેક ફેંકી શકાય એવી વસ્તુઓનો વરસાદ વરસ્યો. એ વૃષ્ટિમાંથી કોઈ ઘણીવાર સુધી જીવતો રહે એવી તો આશા થોડી જ હતી. કેટલાએકનાં માથાં ચીરાઈ ગયાં, કેટલાએકની છાતી ભાંગી ગઈ કેટલાએકનાં શરીરના બીજા ભાગ છુંદાઈ ગયા. એ પ્રમાણે તેઓની દુર્દશા થઈ લોહી તે ઠેકાણે વહેવા લાગ્યું. થોડાએક તે તત્કાળ મરણ પામ્યા; કેટલાએક હસહસતા થઈ ગયા; કેટલાએક બેભાન થઈ ગયા, અને જેઓમાં થોડી ઘણી શુદ્ધિ રહી તેઓ અતિશય દરદને લીધે ચીસાચીસ પાડવા લાગ્યા. જીન્દગી અને મોતની વચ્ચે આ લડાઈ ઘણીવાર સુધી પહોંચી નહીં, થોડીવારમાં એક પછી એક મરવા લાગ્યા, અને આસરે એક કલાક પછી પથરાઓ મુડદાં ઉપર પડવા માંડ્યા. આ ભયંકર કામ થઈ રહ્યા પછી તે સઘળાને એક જલ્લાદે તપાસ્યા. અને તેઓમાંથી જીવને અંશ જતો રહ્યો છે એવી ખાતરી થવા ઉપરથી તેઓને ખોદી કાઢ્યા. તે વખતે તેઓનાં સગાંવહાલાંઓએ તેઓની લાશ લેવાને અને પોતાના ધર્મ તથા સંપ્રદાય પ્રમાણે તેઓને અવલમંજલ પહોંચાડવાની રજા માગી, પણ વજ્ર હૃદયના મુસલમાન અમલદારે એટલી પણ તેઓના ઉપર દયા કીધી નહી, તેઓએ ખુદાતાલાના માનીતા મુસલમાન લોકોને માર્યા એ તેઓનો અપરાધ તેની નજરમાં એટલો તો ભારે હતો કે એટલી સજા પણ તેને હલકી લાગી, અને જીવતા ઉપરનું બાકી રહેલું વેર મુડદાંઓ ઉપર કાઢવાને, તેઓને જલ્લાદને હાથે શહેર બહાર એક ઉંડા ખાડામાં એકઠાં હડસેલાવી દીધાં અને કોઈ પણ જાતની ક્રિયા કીધા વિના તેઓના ઉપર માટી પુરાવી દીધી.
આ બનાવ બન્યાથી સઘળા હિંદુઓના મનમાં ઘણો જ ત્રાસ પેંસી ગયો, અને તેઓ મુસલમાનોથી ઘણા જ ડરવા લાગ્યા. પણ એટલી એ જ ભયંકર વાત બની એમ ન હતું. શાહજાદા અરકલીખાં તથા કદરખાં અને માજી પાદશાહની બેગમ મલેકાજહાન તથા બીજા કેટલાએક માણસો મુલતાન આગળ અલફખાંના હાથમાં આવ્યા પછી તે તેઓને લઈને દિલ્હી તરફ આવવાને નીકળ્યો. તે જ વખતે પાદશાહ અલાઉદ્દીને મલેક નુસરતખાં કોટવાલને શાહજાદાએાની આંખ ફોડવાનો હુકમ આપી અલફખાંને મળવાને સામો મોકલ્યો. નુસરતખાંએ જઈને અલફખાંને પાદશાહનો હુકમ પહોંચાડ્યો, અને જે જગાએ તેઓ બંને મળ્યા તે જ સ્થળે તે દુષ્ટ કામ કરવાની તૈયારી થવા લાગી.
એક ઉનાળાની સ્થિર સાંજે તે બે શાહજાદાઓ એક કિલ્લાની બારી આગળ બેઠા બેઠા પોતાની દુર્દશા વિષે વાત કરતા હતા. આખા દહાડામાં સખત તાપ પડ્યો હતો, તેથી સઘળી વસ્તુઓ ગરમ થઈ ગઈ હતી તે હવે ધીમે ધીમે થંડી પડવા લાગી. બારીમાંથી ટાઢો પવન થોડો થોડો આવતો હતો તેથી તેઓનાં શરીરમાં બીજો તાપ ન હોત તો તેઓને ઘણું સુખ થાત, પણ આ વખતે તે બિચારાઓના વિચાર તેઓનાં શરીરના સુખ તરફ હતા જ નહી, તે જગ્યાએ મુકામ કરવાનું તથા તેઓની મા વગેરે બીજાં બઈરાંને દિલ્હી મોકલી દેવાનું શું કારણ હશે એ વિષે તેઓને ઘણો અંદેશો થયાં કરતો હતો. અલફખાંએ તેઓને મુલતાન આગળ અભય વચન આપ્યું હતું તેથી આટલી થોડી વારમાં તે વચન તે તોડશે, અને તેઓનો પ્રાણ લેશે, એ વિચાર તેઓના મનમાં મુશ્કેલીથી જ આવતો. પણ જ્યારે તેઓને મુકામ કરવાનું કાંઈ કારણ જડ્યું નહી, તથા આપેલો કોલ તોડવો એ તે વખતમાં કાંઈ ઘણું હલકું ગણાતું ન હતું, તથા અલાઉદ્દીનનો ક્રૂર તથા સ્વાર્થી સ્વભાવ તેઓ સારી પેઠે જાણતા હતા, તેથી તેઓને વખતે વખતે મરવાની દહેશત લાગ્યાં કરતી હતી. જ્યારે તેઓ આ પ્રમાણે ઉંડા વિચારમાં પડેલા હતા, તથા હવે મરીશું કે જીવતા રહીશું એ વિશે સંશયમાં હતા, તે વખતે બે માણસોએ ધીમે ધીમે પાછળથી આવીને તેઓને પાડી નાંખ્યા, અને તેઓના હાથપગ તુરત બાંધી લઈને તેઓના મ્હોંમાં ડુચા ઘાલ્યા, પોતાનો જીવ એક ક્ષણમાં જનાર છે, એમ જાણીને તેઓએ ઘણા પછાડા માર્યા, પણ તે ચંડાળો ઘણા જોરાવર હતા, તેથી તેઓનું કાંઈ ચાલ્યું નહીં. તેઓને ચત્તા પાડ્યા પછી એક બારીક ચુપ્પુની અણી- વડે તેઓ બંનેની આંખોના ડોળા બહાર કાઢી નાંખ્યા, મરવાની દહે- શતથી, અાંખ ફુટવાના દરદથી, તથા આંખમાંથી લોહીની ધાર ચાલી રહી તેની વેદનાથી, તેઓ કેટલીએક વાર સુધી તો બેહોશ થઈ પડી રહ્યા. તે વખતે પાદશાહના હુકમથી ઉપરાંત ચાલીને તે ચંડાળોએ મેાટા જંગીઝખાંના છોકરાના છોકરા ઊંલુઘખાંની, અહમદ હબીબની, તથા બીજા કેટલાએક હલકી પાયરીના માણસોની પણ આંખો ફોડી નાંખી.
શાહજાદાએાને જ્યારે ભાન આવ્યું ત્યારે તેઓને કેટલું દુ:ખ લાગ્યું હશે તેની કલ્પના માત્ર કરવી. જીવતા તો રહ્યા પણ તેઓની અમૂલ્ય રત્ન જેવી બે આંખ જતી રહી એ વાત તેઓને જ્યારે માલમ પડી ત્યારે તેઓ અતિ દુઃખ તથા ક્રોધને લીધે ગાંડા જેવા થઈ ગયા, અને મોટા જોરથી બુમાબુમ પાડવા લાગ્યા-“ જીવતા રાખ્યા તે આટલા સારૂ ? અરે, અાંધળા થઈને જીવવું તે કરતાં મરવું હજાર વાર સારૂં, અાંધળાનું જીવવું તે મરવા કરતાં ઘણું જ ભુંડું, મરવું તો છે જ, પછી વહેલું કે મોડું પણ જીવીને દુનિયાનો ત્યાગ કરવો, જગતના અજવાળાથી બહાર રહેવું, સૃષ્ટિની ખુબી જોવાથી બંધ પડવું, સઘળાં ભારે કામ કરવાથી અટકવું ! અરે ! એ તે જીવવું ? એ તો જીવતું મોત, અરે ! એ તો જીવતાં ભોંયમાં દટાવું ? અરે ! જીવને શરીરની કબરમાં દફન કરીને ફરવું, એ કરતાં અમને મારી શા માટે ન નાંખ્યા ? જો મરી ગયા હોત તો સઘળું પુરું થાત, પછી કાંઈ દેખવું એ નહી અને દાઝવું પણ નહીં. મરનારને મન તો સઘળું સરખું, એના ઉપર કોઈ જુલમ કરી શકતું નથી, તેને કોઈથી દુઃખ દેવાતું નથી, તેના ઉપર વધારે આફત આવી પડતી નથી, પણ આ જીવતું મોત ખરા મોત કરતાં કેવું નઠારું ? સઘળી કામ કરવાની શક્તિ નિરર્થક થયા પછી પણ સઘળાં દુ:ખ સહન કરવાની શક્તિ તો રહે છે, એટલે ઢોરની પેઠે જ્યાં કોઈ દોરે ત્યાં દોરાવું, અરે ! ઢોર તો અટકાવ પણ કરી શકે છે, તથા લાત અને શિંગડાં મારે છે; પણ અાંધળા માણસ તો તેઓના શત્રુઓના હાથમાં જ ગયા એમ સમજવું. અરે, રાજ મેળવવાનો લોભ કેવો ભુંડો છે ! અને પાદશાહના વંશમાં હોવામાં કેટલી કમબખ્તી છે ! જો અમે કોઈ ગરીબ માણસના છોકરા હોત તો આ આફત અમારા ઉપર પડત નહીં. થોડાં વર્ષ સુખ તો ભોગવ્યું, પણ આગળ ઉપરની મોટી મોટી ઉમેદોને લીધે તે વખતનું સુખ તુચ્છ જેવું લાગ્યું, પણ તેટલું જ જો જીવતાં સુધી કાયમ રહ્યું હોત તોપણ અમે પરવરદેગારના નામનો શુકૂર કરત. પણ આ દુ:ખ આગળ તે સઘળું બળી ગયું. અમારી બેવકૂફ માના લોભના લીધે અમારા ઉપર આ વિપત્તિ આવી પડી. અમારે રાજ જોઈતું ન હતું; પણ તેણે અમારી મરજી ઉપરાંત અલાઉદ્દીનની સામા માથું ઉઠાવ્યું, તેનાં ફળ અમે ભોગવીએ છીએ. અરે પરમેશ્વર ! અમારા ઉપર આટલો બધો જુલમ શા માટે ગુજાર્યો? અમે કોઈને ઉપદ્રવ કીધો નથી, અમે કોઈનું બગાડ્યું નથી, બલકે અમારાથી જેટલું બની શકયું તેટલું ઘણાએકનું સારૂં કીધું છે. પણ હવે દુ:ખ રડવામાં શો ફાયદો છે? જે થયું તે થયું, તેનો કાંઈ હવે ઈલાજ નથી. ઉલટું અમારૂં નબળું મન દુશ્મનોની આગળ પ્રગટ કરીએ છીએ, માટે જે થવાનું હોય તે થાઓ, તે ખમવાને અમે તૈયાર છીએ; ખુદાની એ પ્રમાણે જ મરજી હશે, તો તેનો હુકમ અમે માથે ચઢાવીએ છીએ.” આટલું બોલી તેઓએ પોતાનું મ્હોં સીવી લીધું.
બીજે દહાડે અલફખાંની છાવણી ઉઠી, અને તેઓ સઘળા હાંસી શહેરમાં ગયા, ત્યાં કિલ્લામાં તે બે આંધળા શાહજાદાને કેદમાં રાખ્યા, પણ આવા અર્ધા મુવેલા શાહજાદાઓ જીવતા રહે ત્યાં સુધી અલાઉદ્દીનને ચહેન પડે નહી એમ જાણી, તથા આપણે જે કરીશું તે પાદશાહ પસંદ કરશે એવી ખાતરીથી અલફખાંએ તથા નુસરતખાંએ તેઓ બંનેને ઠાર મારવાનો નિશ્ચય કીધો, એ કામ હવે કાંઈ મુશ્કેલ ન હોતું. જ્યારે મધ્યરાત્રિની વખતે તે બે શાહજાદાઓ ભર ઉંઘમાં પડેલા હતા તે વખતે બે મારાઓ ખંજર લઈને તેઓના સુવાના ઓરડામાં પેઠા, જે છેલ્લી આફત તેઓના ઉપર જલદી પડનાર છે તેની લેશમાત્ર શંકા પણ એઓના મનમાં નહી હોવાથી તે વખતે તેઓ બંને સ્થિર ચિત્તથી સુતા હતા. તેઓના દુઃખી તથા નિર્દોષ ચહેરા જોઈને તે દુષ્ટ મારાઓને પણ દયા આવી પણ તેઓ જાણતા હતા કે દયાનો આ વખત નથી, અને જો તેઓ પોતાનું કામ બજાવશે નહી તે તેઓ જાતે માર્યા જશે, તેથી તે બેમાંના એકે મન કઠણ કરી અરકલીખાંના પેટમાં ખંજર માર્યું અને તે જ વખતે બીજાએ પણ કદરખાંના ઉપર જખમ કીધો. એ જખમથી કદરખાં તો તુરત મરણ પામ્યો; પણ અરકલીખાંને વાસ્તે તો એક ઘા બસ થયો નહી. તેણે તરફડીયાં મારવા માંડ્યાં, અને “શુકૂર અલ્લા ! આ દુ:ખમાંથી જલદી તેં છુટકારો કીધો.” એવી રીતે તે બોલ્યો. પોતાનું કામ બરાબર થયું નહી તેથી તે ખુની ગભરાયો. શાહજાદાએ તેની તરફ પોતાનું મ્હોં ફેરવ્યું, અને ગુસ્સાથી બોલી ઉઠ્યો, “કાફર, હરામખોર, જલદીથી બીજે ઘા મારી આ જીંદગીનો દોરો એકદમ તોડી નાંખ, તારા અનઘડપણાથી મને કેટલું દુ:ખ થાય છે તે તું જાણતો નથી. માટે માર બીજો ધા, અને આ દુષ્ટ, પાપી જહાનમાંથી મને છોડાવ.” પણ તે માણસની અક્કલ ગુમ થઈ ગઈ તે જડભરત જેવો ઉભો રહ્યો; તેના હાથમાંથી ખંજર પડી ગયું, અને તેના મન ઉપર તેને અખતિયાર નહીં રહેવાથી તે ત્યાંથી નાસી ગયો. અરકલીખાંનને લાગ્યું કે મારનાર તો તેને એવી અવસ્થામાં મુકીને જતો રહ્યો, તેનું ખંજર પડયું હતું તેનો અવાજ તેણે સાંભળ્યો હતો, અને જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ તેની વેદના પણ અસહ્ય થતી ગઈ, તે વખતે તેનામાં સેતાનનું જોર આવ્યું. તે એકદમ બેઠો થયો, અને હાથ લાંબા કરી ખંજર તેણે શોધી કહાડ્યું, હાથમાં તે ખંજર લઈ તેણે ઇશ્વરની સ્તુતિ કીધી, અને “બિસ્મિલ્લાહ ઉર રહેમાન ઉર રહીમ” એટલું કહી તેણે તે ખંજર પોતાના કલેજામાં એટલા જોરથી માર્યું કે તેને પાછું કાઢવાનો પણ તેને વખત મળ્યો નહી, પણ તે લાગતાં જ તેનો આત્મા પરમેશ્વરની હજુરમાં જઈ ઉભો રહ્યો.
દિલ્હીમાં એક કિલ્લાના એક ઓરડામાં એક બઈરી નીચું માથું ઘાલીને બેઠી હતી. તે એારડાની સ્થિતિ તે બઈરીના મનની સ્થિતિના જેવી જ હતી. અંધકાર, અંધકાર, સઘળે વ્યાપી રહેલો હતો. ઓરડાની આસપાસની ચાર દિવાલોમાંથી એકમાંથી પણ અજવાળાનું કિરણ પ્રવેશ કરી શકતું નહતું, ભીંતની છેક ઉપર બે ત્રણ જાળીયાં હતાં તેમાંથી હવા માત્ર આવતી, અને તેથી તેમાં રહેલી બઈરીના પ્રાણને આધાર માત્ર મળતો. પણ તેમાંથી જે કંઈ પ્રકાશ પડતો તે એટલો તો થોડો હતો, તથા ઓરડો મોટો હોવાને લીધે તેમાંનું અંધારું એટલું બધું તો ઘાડું હતું કે તે અજવાળું અંધારાની સાથે મળી જતું અને તેનું જોર બિલકુલ ચાલતું ન હતું. એ અંધારામાં બેઠેલી બઈરી જો જોઈ શકાય તો દુઃખ એટલે શું, અને અતિ દુ:ખથી માણસની અવસ્થા કેવી થાય છે એ સંપૂર્ણ જાણવામાં આવે. જો કોઈ ચિતારાને એક મહા દુ:ખી માણસનું ચિત્ર કાઢવું હોય, અથવા જો કોઈ કવિને તેવા માણસના દેખાવનું વર્ણન કરવું હોય, તો તેણે તે બઈરીને જોવી. તે ખરેખરું દુ:ખનું સ્વરૂપ હતું જો દુ:ખ માનવી દેહ ધારણ કરી શકે તો તે આ બઈરીના જેવું જ સઘળાને માલમ પડે. તેને પોતાના શરીરનું બીલકુલ ભાન ન હતું તે પોતાના બે પગની વચ્ચે માથું ઘાલીને બેઠી હતી. તે ઘણી રૂપાળી હતી, પણ દુઃખના આવેશમાં તેનું રૂપ બદલાઈ જઈને તેની શિકલ ઘણી બિહામણી થઈ ગઈ હતી. તેના મ્હોં ઉપરની નસો કુલી આવી હતી, તેનું શરીર સઘળું સોસવાઈ ગયું હતું. તેના ઉપરનું તમામ લોહી ઉડી જવાથી તે મુડદાના જેવી ફિકા રંગની દેખાતી હતી, જો તે હાલચાલ કરીને જીવતી છે એમ ન જણાવે, તો તેની અને મુડદાની વચ્ચે કાંઈ ભેદ માલમ પડે એવું ન હતું. તેની આંખ ફાટેલી તથા લાલચોળ થઈ ગયેલી હતી અને સાધારણ રીતે જે ચળકાટ અને બુદ્ધિનો અંશ ઘણું કરીને બીજી આંખોમાં માલમ પડે છે તે તેમાં જણાતો ન હતો. તેઓ કોઈ વખત એક જ વસ્તુ તરફ સ્થિર માંડેલી રહેતી; વખતે વગર મતલબે આણીગમ તેણીગમ ફર્યા કરતી. જો તેની આંખ ઉપરથી જ પરીક્ષા કરીએ તો તે છેક ગાંડી થઈ ગયેલી છે એમ આપણી ખાતરી થયા વિના રહે નહી. તેના મનનો વિકાર તેની આંખમાં જ જણાઈ આવતો હતો એટલું જ નહી પણ તેનું બોલવું પણ ચિત્તભ્રમ અભાગીયાં માણસો જેવું જ હતું. તેના શબ્દ તેના મ્હોંમાંથી તુટક તુટક તથા વગર અર્થના નીકળતા. તેના બોલવામાં કોઈ સંબંધ ન હતો. ઘણા જ ક્રોધમાં આવેલાં માણસો જેમ તુટક તુટક વાક્યો વાપરે છે તેવાં વાક્યો તે બોલતી; અને ઘડીએ ઘડીએ મોટી મોટી ચીસ પાડવી અથવા ઘાંટો કાઢી પોક મુકીને રોવું એ સિવાય તેના જુસ્સાવડે તેનાથી વધારે થઈ જતું હતું, જ્યારે તેને ઘણો આવેશ આવતો ત્યારે તે બે હાથે પોતાના માથાના નિમાળાની લટ જોરથી તોડી નાંખતી; તેનાં પહેરેલાં લુગડાં ફાડી નાંખતી; માથું તથા છાતી એટલા જોરથી કુટતી કે તેઓ આવા ઘાની સાથે સલામત શી રીતે રહેતાં એ જ આશ્ચર્યકારક હતું. પણ એટલાથી તેને નિરાંત વળતો નહી. વખતે વખતે તે ઉઠીને દોડતી, અને ભીંતની સાથે ઘણા જોરથી પોતાનું માથું અફાળતી. પોતાના ઓઠ દાંતવડે એવા તો કરડતી કે તેમાંથી લોહીની ધાર ચાલતી. તેના માથામાંથી નીકળતા લોહીથી સઘળાં કપડાં ખરાબ થઈ ગયલાં હતાં, તથા ઓઠમાંના લોહીથી તેનું મ્હોં રક્તવર્ણ થઈ ગયું હતું. તેનું આખું શરીર થરથર ધ્રુજતું હતું; અને તેનામાં કોઈ જીન ભરાયો હોય એવી તે દેખાતી હતી. ઘણા દુઃખથી તે બીચારીનું મગજ ઉધુંચતું થઈ ગયું હતું, અને તે દુનિયાના તેમ જ પોતાના મનને મરી ગયેલા જેવી હતી. તેનામાં જીવ તો હતો, પણ તેના મન ઉપરથી તેનો સઘળો અખતિયાર જતો રહ્યો હતો, એટલે જીવવાનું કાંઈ ફળ રહેલું ન હતું. એ સઘળી હકીકત ધ્યાનમાં લેશો, અને ઉપર બ્યાન કીધા પ્રમાણેની એક બઈરી તમારા મનમાં કલ્પશો, તો માજી પાદશાહ જલાલુદ્દીન ફિરોઝની મુખ્ય બેગમ તથા શાહજાદા અરકલીખાં તથા કદરખાંની મા, મલેકાજહાનની અવસ્થાનો તથા દેખાવનો યથાસ્થિત ચિતાર તમારા મનમાં આવશે.
તે જાતે ઘણા મજબુત મનની, ખટપટી, તથા રાજ્યકારભારની લોભી હતી. પોતાના ધણીના મુઆ પછી તેણે વગર વિચારે, તથા દુશ્મનનું સામર્થ જાણ્યા વિના પોતાના મોટા છોકરાને ખરાબ ન કરતાં, નાના કદરખાંનને ગાદીએ બેસાડ્યો, તે કામ પાર પડ્યું નહી, તેને, તેના છોકરાને, તથા તેના મળતીઆ લોકોને દિલ્હીમાંથી નાસીને મુલતાન જવું પડ્યું, એ પ્રમાણે તેની રાજ્યકાજની મોટી મોટી ઉમેદ પાણીના પરપોટાની પેઠે એકદમ ફુટી ગઈ, એ દુ:ખ કાંઈ ઓછું ન હતું પણ તેટલેથી બસ થયું નહી, તેને તથા તેના છોકરાને મુલતાનમાં ઘેર્યા, અને તેઓને જીવતાં રાખવાનું વચન અલફખાંએ આપ્યું, તે ઉપરથી જ તેઓને મુલતાનના લોકોએ શત્રુના હાથમાં સ્વાધીન કર્યા; એથી ઉલટી તેઓના ઉપર વધારે આફત પડી. તો પણ તેને એવી આશા હતી કે તેના છોકરા જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી તેઓના બાપનું રાજ પાછું મેળવવાને તેમને કોઈ વખત પણ તક મળશે. એ ઉમેદથી તેણે દહાડા કાઢ્યા, પણ જ્યારથી તે શાહજાદાઓથી છુટી પડી ત્યારથી તે નિરાશ થતી ગઈ, અને રાત્રે અને દિવસે તેના મનમાં ઘણા જ ભયંકર વિચારો આવવા લાગ્યા, ઉંઘમાં તે વારે વારે પોતાના છોકરાની કફનમાં વિંટાળેલી લાશ જોયાં કરતી, અને તેને લીધે તેનું ચિત્ત ઘણું જ આકુળવ્યાકુળ થઈ ગયું હતું. જે તેના મનમાં દેહેશત હતી, જે નઠારા વિચાર તેના અંત:કરણમાં ઉત્પન્ન થયા કરતા, તે સઘળું છેલ્લી વારે ખરું પડ્યું, તેને એક ખાનગી જાસૂસે ખબર કીધી કે શાહજાદાએાને અાંધળા કરી મારી નાંખ્યા છે, એ ખબર સાંભળતાં જ તે ભોંય ઉપર બેહોશ થઈને પડી, અને તે બેશુદ્ધિમાંથી થોડી વાર પછી જાગૃત થઈ તો ખરી, પણ તેની અક્કલ ગુમ થઈ ગઈ, તે જાગૃત તો થઈ પણ નહી જેવી જ; તેનું ભાન જે ગયું તે ફરીને પાછું આવ્યું નહી; અને જે અવસ્થામાં આપણે તેને જોઈ તે અવસ્થામાં બીચારી આવી પડી. જ્યારે મલેકાજહાનની આવી દુર્દશાની ખબર પાદશાહને પડી, ત્યારે તેને અંધારા ઓરડામાંથી કાઢીને એક સારા, હવાદાર, અજવાળાવાળા ઓરડામાં રાખી, પણ એ જગ્યાના ફેરફારથી તેના મન ઉપર કાંઈ અસર થઈ નહીં. ઉલટું લોકોને તથા દુનિયાને જોઈને તેના દુ:ખમાં અને તેને લીધે તેની ઘેલછામાં વધારો થયો. તે કોઈ કોઈ વાર બારીએ ઉભી રહેતી, અને નીચે જે લોકો આવતા જતા તેઓને એકી નજરે જોયાં કરતી, લોકોને તેને જોઈને ઘણી દયા આવતી, તથા તેના દુ:ખને વાસ્તે તેઓ ઘણો અફસોસ કરતા, માત્ર દર્વેશ લોકોને તેના ઉપર દ્વેષ હતો, અને અગર જો તે કાંઈ પણ વાત ખરેખર સમજી શકતી ન હતી તોપણ તેઓ પોતાને ગુસ્સો વખતો વખત જણાવ્યા વિના રહેતા નહી. એક વખતે બેગમ બારીએ ઉભી હતી તે વખતે એક દર્વેશે ઉંચું જોઈ પોકાર કીધો – “બેગમ સાહેબ ! સીદી મૌલાને યાદ કરો. તે એક ફિરસ્તો થઈ ગયો. તેની સખાવત એટલી તો હતી કે રોજ તેને બારણે હજારો ગરીબ લોકો એકઠા મળતા. અને તેઓમાં તે રોજ એક હજાર મણ આટો, પાંચસે મણ ગોસ્ત, બસેં મણ ખાંડ તથા તે પ્રમાણે ચોખા, તેલ, ઘી, તથા બીજી ખાવાની વસ્તુઓ વહેંચતો, એવા સખી દર્વેશને તારા દુષ્ટ ખાવિંદે વગર કારણે નાલાયક કાફર લોકોની શિખામણથી મારી નંખાવ્યો. તેનાં શાં શાં ફળ નિપજ્યાં છે તે તું જાણે છે? તેણે મરતી વખતે શું કહ્યું છે તે તને યાદ છે? સીદી મૌલાના મરણથી ખુદાતાલા ઘણો ગુસ્સે થયો, વાવંટોળીયો થયો તે અર્ધા કલાક સુધી પહોંચ્યો, તેટલામાં એટલું તો અંધારૂં થયું કે દહાડો રાત જેવો દેખાયો, રસ્તામાં લોકો એકેક સાથે અથડાયા, અને તેઓને ઘેર જવાનો રસ્તો સુજ્યો નહી. તે વર્ષે વરસાદ આવ્યો નહી તેથી દુકાળ પડ્યો, અને હજારો હિંદુઓ ભુખથી રસ્તે રસ્તે અને ગલીએ ગલીએ મડદાં થઈ પડ્યા, અને આખાં કુટુંબ ને કુટુંબ દુઃખને મારે જમના નદીમાં ડુબીને મરી ગયાં. દરબારમાં ફુટ પડી. પાદશાહને ઘર તરફની મોટી આફત પડી, તેનો મોટો છોકરો ખાનખાનાં માંદો પડ્યો, અને થોડે દહાડે મરી ગયો. પાદશાહની પણ થોડી મુદતમાં એવી જ દશા થઇ. તેને તેના ભત્રીજા હાલના પાદશાહે મારી નાંખ્યો. તેના વંશમાંથી રાજ્ય જતું રહ્યું. તેના બાકી રહેલા બે છોકરા પણ હમણાં જ માર્યા ગયા અને તારી આ અવસ્થા થઇ. સીદી મૌલાનો શાપ આવી રીતે અમલમાં આવ્યો; માટે બીજાનાં કીધેલાં પાપનાં ફળ તું ભોગવે છે.”
દર્વેશની આ સઘળું કહેવાની મતલબ એટલી જ હતી કે તે બેગમને ચીઢવવી, તથા દર્વશ લોકોને વાસ્તે તેનો કેવો વિચાર છે તે તેની પાસેથી કઢાવવો; પણ એ વાતમાં તે બીલકુલ ના ઉમેદ થઈ ગયો, તેને જવાબ આપવાને બદલે બેગમ પેહેલાં પ્રમાણે જ જડભરત જેવી ઉભી થઇ રહી, અને કેટલીએક વાર પછી ખડખડ હસી પડી, પોતાના બોલો પવનમાં ઉડી ગયા એમ જાણીને તે દર્વેશ નિરાશ થઈને આગળ ચાલ્યો ગયો.
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.
હવે પછીઃ પ્રકરણ ૬ ઠ્ઠું
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
-
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? | ગાંધીજી
(૧) પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? – નરેન્દ્ર મોદી
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.
ઝળાહળાનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે
અંધારાના વમળને કાપે
કમળ તેજતો સ્ફુરતું છે
ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું.
કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાબાજી રમે નહીં.
હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું.
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું.
(૨) ગાંધીજી – શેખાદમ આબુવાલા
અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી,
તમે ચાહ્યું’તું તેવું તો નથી કંઈ આજ, ગાંધીજી.તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરસીઓ,
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી?અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું,
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી.હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે,
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી.કદી ‘આદમ’ સમાધિ પર જઈને આ તો કહેવું છે:
તમે એક જ હતા ને છો વતનની લાજ. ગાંધીજી. -
એક કલાકાર : ગાયકો એકથી વધુ : [૧૧] : ભારત ભૂષણ
નિરંજન મહેતા
૧૯૪૧થી શરૂ થયેલી ભારતભૂષણની ફિલ્મી કારકીર્દીની ૧૯૫૦ સુધીની ફિલ્મો માટે કોઈ માહિતી પ્રાપ્ત નથી. કારણ કોઈ વિડીઓ મળતા નથી. પણ ત્યાર પછી માહિતી મળી છે તે રજુ કરૂ છું.
સૌ પ્રથમ જોઈએ ૧૯૫૨ની ફિલ્મ ‘બૈજુ બાવરા’નું આ ગીત. આ ફિલ્મના બધા ગીતો પ્રચલિત છે અને કર્ણપ્રિય પણ.
भगवान भगवान भगवान
ओ दुनिया के रखवाले
सुन दर्द भरे मेरे नालेઆ ગીત દ્વારા ભારતભૂષણ પોતાની વ્યથાને ઉજાગર કરે છે બૈજુ બાવરા તરીકે. જેને સ્વર આપ્યો છે રફીસાહેબે.
બીજું ગીત છે
आज गावत मन मेरो झूम के
तोरी तान भगवान
आज गावत मन मेरोબૈજુ બાવરા અને તાનસેન વચ્ચેની આ જુગલબંદી છે જેને માટે સ્વર આપ્યા છે આમીર ખાન અને ડી.વી.પલુસ્કરે.
બંને ગીતોના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે નૌશાદે.
૧૯૫૪ની ફિલ્મ ‘શબાબ’નાં ગીતો છે
मरना तेरी गली में
जीना तेरी गली में
मरना तेरी गलीमिट जायेगी हमारी
दुनिया तेरी गली मेंપ્રેમમાં હતાશ ભારતભૂષણ પોતાની વ્યથા લોકો સમક્ષ રજુ કરે છે જેને સ્વર આપ્યો છે રફીસાહેબે.
બીજું ગીત એક હાલરડાં રૂપે છે જે અત્યંત પ્રખ્યાત છે
ओ चन्दन का पलना रेशम की डोरी
झूला झुलाऊँ निंदिया को तोरीગીતની શરૂઆતમાં ભારતભૂષણ આ ગીત ગાય છે જે પાછળથી લોકોના હૈયે વસી ગયું હોય છે અને જ્યારે એક ભિક્ષુક ગાતો હોય છે ત્યારે નૂતન એમ સમજે છે કે ભારતભૂષણ તે ગીત ગાય છે અને દોડીને બહાર આવે છે, સ્વર છે હેમંતકુમાર અને લતાજીના.
બંને ગીતોના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે નૌશાદે.
૧૯૫૬ની ફિલ્મ ‘બસંત બહાર’ના બધા ગીતો પ્રખ્યાત છે.
दुनिया न भाये
मोहे अब तो बुला ले
चरणों में तेरेભજનના રૂપમાં આ ગીત રફીસાહેબના સ્વરમાં છે.
બીજું ગીત છે
सुर ना सजे क्या गाऊँ मैं
सुर के बिना, जीवन सूना
सुर ना सजे क्या गाऊं मैंપોતાના ગુરૂને મનાવવા ગવાતું આ ગીત મન્નાડેનાં સ્વરમાં છે.
બંને ગીતોના રચયિતા છે શૈલેન્દ્ર અને સંગીતકાર છે શંકર જયકિસન.
૧૯૫૭ની ફિલ્મ ‘રાની રૂપમતી’નું આ ગીત બે પ્રેમીઓના મનોભાવ દર્શાવે છે.
झनन झन झनन झन बाजे पायलिया
पिया से मिलने चली आज कामीनियाભારતભૂષણ અને નિરૂપા રોય પર રચાયેલ આ ગીતને સ્વર મળ્યો છે રફીસાહેબનો અને લતાજીનો.
બીજું ગીત રિસાયેલી નિરૂપા રોયને મનામણા રૂપે છે
आ लौट के आजा मेरे मीत तुझे मेरे गीत बुलाते हैं
मेरा सूना पड़ा रे संगीत तुझे मेरे गीत बुलाते हैंરાણી રૂપમતીના વિરહમાં ગવાતા આ ગીતનાં ગાયક છે મુકેશ
બંને ગીતોના શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત આપ્યું છે એસ. એન. ત્રિપાઠીએ.
૧૯૫૭ની અન્ય ફિલ્મ ‘ચંપાકલી’ એક પ્રણય ત્રિકોણ પર આધારિત ફિલ્મ છે.
आजा ओ रसिया सावन के दिन आये
वो घटा कारी कारी जिया तडपायेઆ એક સમૂહનૃત્ય ગીત છે જે મન્નાડે અને લતાજીના સ્વરમાં છે.
બીજું ગીત એક છેડછાડભર્યું ગીત છે જેમાં ભારતભૂષણ સુચિત્રા સેનની છેડછાડ કરે છે.
ओ गवालन क्यों मेरा मन
तेरी चितवन ले गईગાયક છે રફીસાહેબ.
બંને ગીતોમાં સુચિત્રા સેન પણ દેખાય છે. બંને ગીતોના રચયિતા રાજીન્દર કૃષ્ણ અને સંગીતકાર હેમંતકુમાર.
૧૯૫૮ની ફિલ્મ ‘સમ્રાટ ચંદ્રગુપ્ત’ એક ઐતિહાસિક ફિલ્મ છે
भर भर आये अंखिया हो मोरा छुप छूप रोये रे जिया
अपने ही हाथों आग लगाई, हाय मैंने ये क्या किया?માનસિક વેદનાને ઉજાગર કરતુ આ ગીત નિરૂપારોય અને ભારતભૂષણ પર રચાયું છે જેના ગાયકો છે લતાજી અને રફીસાહેબ. ગીતકાર ભરત વ્યાસ અને સંગીત આપ્યું છે કલ્યાણજી વીરજી શાહએ
બીજું ગીત એક પ્રણયગીત છે
ये समां है मेरा दिल जवा
प्यार भरा है देखोदेखो ये जहाँભારતભૂષણ અને નિરૂપારોય ઘોડેસવારી કરતાં કરતાં આ ગીત ગાય છે જેનાં ગાયક કલાકારો છે મન્નાડે અને લતાજી. શબ્દો છે હસરત જય્પુરીના અને સંગીતકાર કલ્યાણજી વીરજી શાહ.
૧૯૫૯ની ફિલ્મ ‘કવિ કાલીદાસ’નું ગીત એક નફરતભર્યું ગીત છે.
उन पर कौन करे विश्वास
किये भंवरो का भेष
फिरे कलियों के देशનિરૂપા રોય ગીતના કલાકાર જેને સ્વર આપ્યો છે લતાજી અને રફીસાહેબે.
બીજું ગીત છે
नए नए रंगों से लिखती धरती नई कहानी
तन मन को पल भर में बदलती ऋतुएं ये बड़ी सुहानीકુદરતનો નજારો જોઇને કવિ કાલિદાસનું મન પ્રફુલ્લિત થાય છે ત્યારે આ ગીત ગવાયું છે. ગાયકો છે ગીતા દત્ત અને મન્નાડે.
બંને ગીતના રચયિતા ભરત વ્યાસ અને સંગીતકાર એસ.એન. ત્રિપાઠી.
૧૯૫૯ની અન્ય ફિલ્મ ‘સાવન’નું આ ગીત એક વિરહ ગીત રૂપે છે
नैन द्वार से मन में वो आ के तन में आग लगाए
हाय रे कोई छलिया छल किए जाए
जियरा लिए जाए चैन नहीं आएભારતભૂષણ સાથે છે અમિતા. લતાજી અને મુકેશના સ્વર.
બીજું ગીત ઘોડાગાડી પર સવાર ભારતભૂષણ સાથે છે અમિતા.
भीगा भीगा प्यार का समा
बता दे तुझे जाना है कहाँ बलिए
बता दे तुझे जाना है कहाँગાયકો છે રફીસાહેબ અને શમશાદ બેગમ.
આ ફિલ્મમાં ત્રીજા ગાયક કલાકાર પણ છે જેમાં ભારતભૂષણ અમિતાની છેડછાડ કરે છે.
तुमने कहा छू मैंने छू लिया
कहा था वो किया दागा तो नहीं कियाમહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુર આ ગીતના ગાયક કલાકારો.
ત્રણેય ગીતના રચયિતા છે પ્રેમ ધવન અને સંગીત આપ્યું છે હંસરાજ બહેલે.
આ નામની ફિલ્મ અગાઉ ૧૯૪૫માં આવી હતી જેમાં ભારત ભૂષણ જ મુખ્ય ભૂમિકામાં હતાં.
૧૯૬૨ની ફિલ્મ ‘સંગીત સમ્રાટ તાનસેન’નું આ ગીત પણ એક વિરહ ગીત છે
झूमती चली हवा, याद आ गया कोई
बुझती बुझती आग को, फिर जला गया कोईગાયક છે મુકેશ
બીજું ગીત અકબર બાદશાહના આગ્રહને લઈને ગવાતું ગીત છે.
दीपक जलाओ ज्योति जलाओं
मन में है अन्धेराગાયક છે રફીસાહેબ
તો આ ફિલ્મમાં પણ ત્રણ ગાયકો છે. ત્રીજું ગીત દરબારમાં ગવાતું ગીત છે
मितवा लौट आये री
आज मेरो जियरा क्यों न आये
सुभ दिन दशर्अन पाये
मितवा लौत आये रीગાયક છે મન્નાડે
ત્રણેય ગીતના શબ્દકાર છે શૈલેન્દ્ર અને સંગીત આપ્યું છે એસ.એન. ત્રિપાઠીએ.
૧૯૬૪ની ફિલ્મ ‘જહાંઆરા’નું ગીત છે
बाद मुद्दत के हम तुम मिले
मुडके देखा तोह हैं फासले
चलते चलते ठोकर लगी
यादें वादें आवाज़ देते न काशગાયકો છે રફીસાહેબ અને સુમન કલ્યાણપુર.
બીજું ગીત છે
तेरा ग़मख़्वार हूँ लेकिन मैं तुझ तक आ नहीं सकता
मैं अपने नाम तेरी बेकसी लिखवा नहीं सकतातेरी आँख के आँसू पी जाऊं ऐसी मेरी तक़दीर कहाँ
तेरे ग़म में तुझको बहलाऊं ऐसी मेरी तक़दीर कहाँગાયક છે તલત મહેમુદ.
બંને ફિલ્મના ગીતકાર રાજીન્દર કૃષ્ણ અને સંગીતકાર મદન મોહન
ત્યાર બાદની ફિલ્મોમાં ભારત ભૂષણ મુખ્ય કલાકારના રૂપે નજર નથી આવતા એટલે કોઈ ગીત તેમના પર રચાયા હોય તેમ લાગતું નથી.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
પેરડીની પ્રસાદી – એક દિલ મેરા, એક દિલ મેરા
બીરેન કોઠારી
હિન્દી ફિલ્મી ગીતોને આરંભિક દાયકાઓમાં મળેલી અપરંપાર લોકપ્રિયતા કદાચ એ સમયની ફિલ્મોમાં એવાં લોકપ્રિય ગીતોની પેરડીનું કારણ બની હશે એમ લાગે છે. જોવાની વાત એ છે કે એ સમયે કદાચ જે લોકપ્રિયતા કામચલાઉ લાગી હોઈ શકે એ ગીતો ખરેખર તો સદાબહાર છે, અને આજે પણ સાંભળવાં એટલાં જ ગમે છે.
૧૯૪૮માં રજૂઆત પામેલી, ‘કશ્મીર ફિલ્મ્સ’ નિર્મિત, અરવિંદ સેન રાય દિગ્દર્શીત ફિલ્મ ‘હીપ હીપ હુર્રે’ યાને ‘ચૌબેજી’માં એક પેરડી ગીતની મેડલી હતી. આ ફિલ્મનાં ગીતો ગોપાલસિંહ નેપાલી અને મોતી બી.એ. દ્વારા લખાયેલાં, જ્યારે સંગીતકાર હતા પં. હનુમાન પ્રસાદ. દીક્ષિત, બલવંત સિંહ, નવિન યાજ્ઞિક, બિરૂપા રાય, કુમકુમ, ભૂદો અડવાણી, ગોપ વગેરે કલાકારો તેમાં હતા. બન્ને ગીતકારોમાંથી આ પેરડી ગીત કોણે લખ્યું એ ખ્યાલ આવતો નથી, પણ ગીતનાં ગાયકો હતા રાજકુમારી, જી. એમ.દુર્રાની, ઝોહરાબાઈ અંબાલેવાલીઅને સાથીઓ. ગીતના શબ્દો છે ‘એક દિલ મેરા, એક દિલ મેરા’.
મુખડા પછી મેડલી શરૂ થાય છે. ‘એક દિલ મેરા, એક દિલ મેરા’ ગીત પછી ‘દર્દ’ના ગીત ‘અફસાના લિખ રહી હૂં‘ (1) ની પેરડી છે. એ પછીનું ગીત છે ‘ગયા જમાના લૂટ કા’ (2). આ કયા ગીતની પેરડી છે એ ખ્યાલ આવતો નથી. ત્યાર પછીનું ગીત છે ‘દૂર દૂર સે કરું ઈશારે’, જે ‘અનમોલ ઘડી’ના ગીત ‘ઉડનખટોલે પે ઉડ જાઉં‘(3)ની પેરડી છે. એના પછી ‘ગલતફહમી મેં મત પડ જાના’ ગીત ‘રતન’ના ‘અંગડાઈ તેરી હૈ બહાના‘(4)ની પેરડી છે. ત્યાર પછીના ગીતના શબ્દો ‘દિલ લે કે ભાગા, દગા દે કે ભાગા‘(5) ખરેખર તો પેરડી નથી, પણ ‘નદીયા કે પાર’ના ગીતના જ શબ્દો યથાતથ છે. એ પછી ‘મૈં તો થાને મેં રપટ લિખવાઉં રી’ ગીત ‘ઝૂલા’ના અતિ લોકપ્રિય ગીત ‘મૈં તો દિલ્લી સે દુલ્હન લાયા રે બાબુજી‘(6)ની પેરડી છે. એ પછી ફરી એક વાર ‘દિલ લે કે ભાગા’ શબ્દો પછી તરત ‘જાયેગા જાને ના દૂંગા’ ગીત ‘રતન’ના ‘અખિયાં મિલાકે જીયા ભરમા કે, ચલે નહીં જાના‘(7)ની પેરડી છે. આના પછીના શબ્દો ‘આંખો સે પાની બહતા હૈ, દિલ રો રોકર યે કહતા હૈ’ પેરડી નથી, પણ ‘રતન’ના ગીત ‘જબ તુમ હી ચલે પરદેસ‘(8)ના એના એ જ શબ્દો છે. ત્યાર પછી ગીત શરૂ થાય છે’ ગલી પાર કર કે’, જે ‘સફર’ના ગીત ‘કભી યાદ કરકે‘(9)ની પેરડી છે. એ પછીના શબ્દો છે ‘મોહે છોટા સા ધૂન(?) લગે પ્યારા’ જે ‘બેલા’ના ગીત ‘મોહે બાંકા બાલમ લગે પ્યારા‘(10)ની પેરડી છે. ત્યાર પછી ‘છુપ ન સકોગે, અજી તુમ છુપ ન સકોગે’ ગીત ‘બંધન’ના ‘કૈસે છુપોગે અબ તુમ કૈસે છુપોગે‘(11)ની પેરડી છે. એ પછીનું ગીત ‘આવાઝ દે કહાં હૈ, દંડા મેરા જહાં હૈ’ ફિલ્મ ‘અનમોલ ઘડી’ના અમર ગીત ‘આવાઝ દે કહાં હૈ‘(12)ની પેરડી છે. ત્યાર પછીના શબ્દો છે, ‘દિલ હમારે પાસ હૈ, જલનેવાલે જલા કરે’, જે ‘ખીડકી’ના ગીત ‘કિસ્મત હમારે સાથ હૈ‘(13)ની પેરડી છે. એ પછીનું ગીત ‘મારી કુલ્હાડી મર જાના’ ફિલ્મ ‘શહનાઈ’ના ગીત ‘મારી કટારી મર જાના‘(14)ની પેરડી છે. આના પછીના શબ્દો બરાબર પકડાતા નથી, પણ ‘બંદૂકોં સે ના કામ લિયા’ ખ્યાલ આવે છે. આ ‘ઝીનત’ની મશહૂર કવ્વાલી ‘આહેં ન ભરી, શિકવે ન કિયે‘(15)ની પેરડી છે. એ પછી ‘દેખો જી ન મારુંગી’ ગીત ‘કિસ્મત’ના અતિ ખ્યાત ‘દૂર હટો એ દુનિયાવાલોં‘(16)ની પેરડી છે. ત્યાર પછીનું ગીત ‘ઈસ ભીડ કે ટુકડે દૂર કિયે’ ‘પ્યાર કી જીત’ના ગીત ‘ઈક દિલ કે ટુકડે હજાર હુએ‘(17)ની પેરડી છે. એ પછી ‘હમ પ્રેમ કે કૈદી કો’ ગીત ‘દર્દ’ના ગીત ‘હમ દર્દ કા અફસાના‘(18)ની પેરડી છે. ત્યાર પછી આવતું ગીત ‘ધીરે ધીરે આ રે દરોગા’ ફિલ્મ ‘કિસ્મત’ના અતિ જાણીતા ગીત ‘ધીરે ધીરે આ રે બાદલ‘(19)ની પેરડી છે. એના પછી ‘જાઓ જાઓ એ બીચવાલોં’ ‘પૂરણ ભગત’ના ગીત (ભજન) ‘જાઓ જાઓ એ મેરે સાધુ‘(20)ની પેરડી છે. એ પછી ‘ચલે મેરી દુનિયા કો આબાદ કર કે’ ગીત ફિલ્મ ‘દર્દ’ના ‘ચલે મેરી દુનિયા કો બરબાદ કરકે‘(21)ની પેરડી છે. સૌથી છેલ્લું ગીત ‘મેરે હાથ ન આયે હાયે’ ફિલ્મ ‘શાહજહાં’ના ગીત ‘જબ ઉસને ગેસૂ બિખરાયે‘(22)ની પેરડી છે.
આમ, જોઈ શકાય છે કે આ ગીત ઘણું લાંબું છે, અને તેમાં બધું મળીને કુલ બાવીસ ગીતોની પેરડી છે. હિન્દી ફિલ્મ ગીતકોશમાં આ ગીત કુલ ત્રણ ભાગમાં બતાવ્યું છે, જે લીન્કમાં સળંગ રીતે મૂકાયું છે.
આ ગીતમાળાના ૨૨ ગીતોમાં ‘દર્દ’, ‘અનમોલ ઘડી’, ‘રતન’. ‘શાહજહાં’ ના સંગીતકાર નૌશાદ હતા. ‘સફર’, ‘શહનાઈ’, ‘ખીડકી’ના સંગીતકાર સી.રામચંદ્ર છે. ‘બંધન’ અને ‘ઝૂલા’નાં સંગીતકાર સરસ્વતીદેવી છે. ‘કિસ્મત’ના સંગીતકાર અનિલ બિશ્વાસ, અને ‘પ્યાર કી જીત’ના સંગીતકાર હુસ્નલાલ-ભગતરામ તથા ‘ઝીનત’ના સંગીતકાર મીરસાહબ તેમજ હાફીઝખાન છે.
આ મેડલી સાંભળતાં કંઈક અંદાજ આવે છે કે ચાલીસના દાયકાનાં કેટલાક લોકપ્રિય ગીતો કયાં હતાં. બીજી વાત એ કે આમાં મોટે ભાગે ગીતોનાં મુખડાં જ છે.
નીચેની લીન્ક પર આ ગીતમાળા સાંભળી શકાશે.
(લીન્ક: યૂ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
