વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સ્મૃતિસંપદા – જગદીશ પટેલ : જીવનનાં ઝરણાં [૧]

    જગદીશ પટેલનો જન્મ નડિયાદમાં ૧૯૪૫ની સાલમાં થયો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એન્જિનીયરીંગ નો અભ્યાસ કરી ૧૯૬૯માં વધુ અભ્યાસ અર્થે અમેરિકા આવ્યા.

    લાસ વેગાસમાં એન્જિનીયર તરીકે થોડો વખત કામ કર્યા પછી સ્ટોરના ધંધામાં ઝંપલાવ્યું. ગાંધી વિચાર શૈલી અને સમાજ કલ્યાણની ભાવના સાથે અમેરિકામાં તેઓ પાંગર્યા તેનો તેમને સંતોષ છે. સ્થળાંતરવાસીઓને તેઓ ભાગ્યશાળી માને છે. પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિનો સુમેળ કરવામાં તેઓ સફળ રહ્યા છે.

    પોતાની જાતને અમેરીકામાં વસતા એક સાધારણ ગુજરાતી તરીકે ઓળખાવતા જગદીશભાઈ હાલ લાસ-વેગાસમાં નિવૃત જીવન ગાળે છે. પ્રમાણિકતા અને નિખાલસતા સાથે તેઓ જીવનનો આનંદ સ્નેહી-મિત્રો સાથે વહેંચતા રહે છે અને ગુજરાતી વાંચન અને લેખન થકી સાહિત્ય સાથે પણ તેઓ સંકળાયેલ રહ્યા છે. ગોલ્ફ રમવાનો અને પ્રવાસનો તેમને ઘણો શોખ છે. ઊંચી આતિથ્ય ભાવનાને કારણે એમનું મિત્રવર્તૂળ વિશાળ છે જેમાં સાહિત્ય રસિકોનો સમાવેશ પણ થાય છે.

    Email: jagdishwriter@gmail.com


    મારી જીવનયાત્રા લખવાનું શરૂ કરું છું ત્યારે મને મુંઝવણ થઈ છે કે મારી જિંદગી માટે કોઈપણ વ્યક્તિને શા માટે કુતુહુલ થાય કે તેમાં રસ હોય? મારા જીવનમાં ઉપદેશ કે સિદ્ધિ નથી, કે નથી અસાધારણ અનુભવો. મારાં સગાવહાલાં કે મિત્રો સિવાય મને કોઈ ઓળખતું નથી, હું જીવન સંગ્રામ લડ્યો નથી, શિખરો સર કરવાનો પ્રયત્ન પણ ના કર્યો, ઇનામ નથી મળ્યાં. આયુષ્ય વીત્યું છે સરળ વહેતાં ઝરણાં માફક, નહીં કે પુરથી ધસતી નદી. મારી પાસે સાહિત્યિક શૈલી લખાય તેવી આવડતનો અભાવ છે.

    ઘણાં કારણો છે ન લખવા માટે, પણ તેવી નકારસૂચક બાબતો મને ક્યારેય રોકી શકી નથી. હું સાચે જ માનુ છું કે ગુજરાતથી અમેરિકા આવેલા મારા સમવયસ્ક સામાન્ય વ્યક્તિઓ નો હું એક ચહેરો, એક દર્પણ છું. મારી જીવનયાત્રાને ગુજરાતી-અમેરિકન બંધુઓના સ્વાનુભવોનું દૃષ્ટાન્ત પણ કહી શકાય. કહેવાય છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તે પ્રમાણે, પચાસ વર્ષોના પરદેશમાં વહેવાસ પછી પણ, હું સ્વયમ ને અમેરિકન ગણું છું છતાં, મારાં સંસ્મરણો ગુજરાતનું પ્રતિક છે. તેમાં અગણિત ગુજરાતીઓ ને પોતાના અનુભવોની ઝાંખી થઈ શકે. ખેર, બીજું કશું નહીં તો મારી આત્મકથાને નિરાદ ચોધરીના પુસ્તકની માફક “ઔટોબાયોગ્રાફી ઓફ એન અનનોન ગુજરાતી” કહી શકાય.

    ભૂતકાળમાં પગલું ભરું તે પહેલાં આ ઘડીએ વિચાર આવે છે કે જિંદગી કયા સમયે ચાલુ થઈ કહેવાય. જન્મસમય તો પૃથ્વી પર આગમનનો છે, પરંતુ આપણે કેવા માણસ તરીકે જીવન જીવીએ છીએ તેમાં આપણા પૂર્વજોનો મહત્ત્વનો અને કિમતી ફાળો હોય. સંસ્કાર, સંસ્કૃતિ, ડીએનએ વગેરે વ્યક્તિનું નિર્માણ કરે છે, તેમની સતત ઉપસ્થિતી જન્મથી મૃત્યુ વચ્ચેના ગાળામાં આપણને માર્ગદર્શન આપે છે. આ સમયે મારી ઉંમર વધી છે અને મૃત્યુ નજદીક આવતું હોય તેમ લાગે છે ત્યારે, પૂર્વજો વિશે જે માહિતી છે  તે યાદ કરી મને ખૂબ હર્ષ થાય છે.

    અમારું મુળ વતન ચરોતરનુ ધર્મજ ગામ છે. ત્યાં મારા દાદા શિવાભાઈ પટેલ માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ હતા. તેઓ પ્રખ્યાત કવિ મણિશંકર રત્નજી ભટ્ટ (કાંત)ના વિદ્યાર્થી, અને પછી સાથી થયા હતા. મુંબઈ, ૧૯૧૫માં કાન્ત, દાદા અને બીજા દસેક બૌદ્ધિક પુરુષોએ ભેગા થઈ “હિંદી સ્વીડનબૉર્ગ સોસાયટી”ની સ્થાપના કરી. ખ્રિસ્તી ધર્મના પાદરીની આધ્યાત્મિકતાથી પ્રેરાઈને તેમણે ચર્ચ નહીં પરંતુ એક સંસ્થા ચાલુ કરી જેથી સ્વીડનબોર્ગના વિચારોનો હિંદમાં ફેલાવો થાય. તે કામ સહેલું ન હતું, પરંતુ અભિલાષા અને આગ્રહથી ભરેલા માણસોનું મંડળ એકઠું થયું અને સોસાયટીની સ્થાપના કરી. દાદા તેના પહેલા સેક્રેટરી થયા. થોડા જ મહિનામાં મુંબઈના વિવિધ ધર્મ અને જાતિના પ્રજાજન તેના સભ્ય થયા. તે સંસ્થા બહુ ચાલી ન હોય તેમ હું માનું છું. છતાં મને તેના કાર્યકર્તાઓની હિંમત અને હોંશિયારી માટે માન છે. દાદાએ ‘જીવન પ્રબોધ’ નામની પુસ્તિકા લખી હતી તે વાંચીને મને નવાઈ લાગે છે કે તે સમયે ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનમાં તેમને કેવો રસ હતો, કેવી જિજ્ઞાસા હતી.

    મારા માતાના પિતા, આજકાલ જેમને નાના કહેવાય છે, રાવજીભાઈ પટેલ ૧૯૧૦ની આસપાસ દક્ષિણ આફ્રિકા ગયા હતા. થોડા સમય પછી ત્યાં જે ધંધો કરતા હતા તે છોડ્યો અને ગાંધીજી સાથે ફિનિક્સ આશ્રમમાં જોડાઈ ત્યાંના ભારતીયોને જે તકલીફ પડતી હતી તે દૂર કરવાની ચળવળમાં ભાગ લીધો. વર્ષો પછી ભારતમાં આવી બાકીની જિંદગી સાબરમતી આશ્રમમાં અને સ્વતંત્રતાની લડતમાં ગુજારી. તે સમયમાં તેમણે ઘણા પુસ્તકો લખ્યાં. તેમાંથી એક “હિંદના સરદાર”નું નાનું રૂપાંતર કરી ગુજરાત સરકારે લાખો પુસ્તકો ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ ના ભૂમિપૂજનમાં નાગરિકોને મફત વહેચ્યાં હતાં.

    રાવજીદાદાએ બે ભાગની આત્મકથા લખી તેમાં એક સુંદર, રસદાયક પ્રસંગનું વર્ણન છે. તે બન્ને દાદાઓના વ્યક્તિત્વની મનોહર ઝાંખી આપે છે.

    મારા માતાપિતાના વિવાહ ૧૯૨૦માં નક્કી થયા ત્યારે રાવજીદાદાએ તેમના ભાવિ વેવાઈ શિવાદાદાને ૩૦૧ રૂપિયા આપવા ખિસ્સામાંથી કાઢ્યા હતા. તે પ્રસંગનો અહેવાલ આત્મકથામાં આ પ્રમાણે હતો :

    “શ્રી શિવાભાઈ જાણે ચમક્યા હોય તેમ બોલી ઊઠ્યા, ‘રૂપિયા, રૂપિયા શાના?”

    “ન્યાતના રિવાજ પ્રમાણે સગાઈ થતાં ચાંલ્લો અપાય છે, તેથી સગાઈ નક્કી થઈ ગણાય.”

    શ્રી શિવાભાઈતો હસ્યા. તે બહુ મર્મભેદી ભાષા બોલનાર હતા. મજાકી અને આનંદી પણ ખરા. ઉચ્ચ આદર્શપ્રિય જીવનની આવી ભાષા બહુ ગૂઢ અર્થવાળી હોય છે. તે મજાક કરતા બોલ્યા, “ન્યાતનો રિવાજ? ન્યાતનો રિવાજ સાટાનો હોય છે, ચાંલ્લાનો ક્યાં છે? ચાંલ્લો કંકુનો હોય, ચાંદીના ટુકડાનો કેમ? મેં તમને વાછરડો નથી વેચ્યો કે તમારી પાસે સાટાના રૂપિયા લઉં. નાતમાં એવો રિવાજ હશે પણ હું લબાડ માણસ નથી. હું ફરી જઈશ તેમ માનીને મને સાટુ આપીને બાંધો છો? મારું અને મગનભાઈનું વચન પૂરતું છે. હૃદયના વિશ્વાસનું પ્રતિક રૂપિયા ના હોય, એ તો એક બીજા પ્રત્યેની શ્રદ્ધા જ હોય.”

    પછી શિવાભાઈ ગંભીરતાપૂર્વક બોલ્યા, “ઠીક થોભો, હું આવું છું.” તે ગયા અને બે જ મિનિટમાં પાછા આવ્યા અને કહ્યું, “લો, મારા પણ ત્રણસો એક. મને લાગે છે કે વરના બાપે પણ કાંઈ કરી છૂટવું જોઈએ. તમે કન્યાના બાપ થયા એટલે બાપડા, બિચારા? હું વરનો બાપ થયો એટલે ટેડુંજી નથી. જો તમે કન્યાને ઉછેરી સમાજના ગુનેગાર થયા છો તો હું પણ તેવો જ છું. આપણે બન્ને સરખા છીએ.”

    અંતે વરકન્યાના નામે ૬૦૨ રૂપિયા એક સંસ્થામાં ભેટ આપ્યા.

    રાવજીદાદાએ સ્વતંત્રતા પછી ફક્ત સમાજસેવા અને સુધારણામાં રસ લીધો. રાજકારણમાં સહેલાઈથી જઈ શક્યા હોત પણ તેમણે ના પાડી અને ભારત સમાજ સેવકના પ્રમુખ થયા. દેશભક્ત અને સમાજ સુધારક થઈ પાંચ દસકા સુધી સેવા કરી.

    અંતિમ વર્ષોમાં તેમણે માનવમૂત્ર પીવાના પ્રયોગો કર્યા હતા અને એક પ્રચલિત પુસ્તક લખ્યું હતું, જેના ઘણા ભાષાંતર પણ થયા છે. મોરારજી દેસાઈ દાદાને અંગત રીતે ઓળખતા હતા અને તેમણે પણ મૂત્ર પીવાના પ્રયોગો કર્યા. આજે અમે હસીએ છીએ કે આપણા કુટુંબે ભારતને મૂત્ર પીતા શીખ્વ્યું છે. બહું જ અગત્યનો ફાળો છે! મારા પિતાએ પણ જ્યારે ગાંધીજીએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાની ચળવળ ઉપાડી હતી ત્યારે લંડન જવાનું બંધ રાખ્યું હતું. પછી આખી જિંદગી ખાદીનાં કપડાં જ પહેર્યાં. આવા પૂર્વજોની ત્રીજી થી છઠી પેઢીઓ આજે અમેરિકામાં છે. અમે ઘણીવાર ભેગા મળીએ ત્યારે વાત કરીએ છીએ કે આપણા બાપદાદા જેવા હતા તેમાંથી આપણામાં કશું રહ્યું નથી. સાપ ગયા અને લિસોટા રહ્યા. પરંતુ હકીકત એ છે કે ભલે અમે દેશભક્ત કે સમાજ સુધારક નથી થયા, પૂર્વજના વિચારો, તેમની જિંદગીના દાખલા, રહેણીકરણી વગેરેની અમારી જિંદગીમાં ખૂબ અસર છે. અમારું વર્તમાનના કુટુંબને વારસામાં જે મળ્યું છે તે માટે તેમનું ખૂબ આભારી છે.

    *  *  *   *  *

    પહેલા વિશ્વયુદ્ધ પછી અમારા બાપુજી મુંબઈથી નડિયાદ આવ્યા અને ધંધો ચાલુ કર્યો. ત્યાં પાંચ દિકરી પછી, ૧૯૪૫માં મારો જન્મ થયો. ઘણી રાહ જોયા બાદ, પાંચ પાંચ દિકરીઓ પાછળ, જે દિકરાનો જન્મ થાય તે રાજકુંવર જેવો લાડકો હોય. કુટુંબના બધાં સભ્યો મને ખૂબ સાચવતાં. પહેલાં પાંચ વર્ષ સુધી જૂની અંધશ્રદ્ધાને લઈને મારા માતાએ મને ભિખારી બનાવ્યો હતો. તેથી કોઈના આપેલાં કપડાં જ પહેરવાનાં. ખરેખર તો મારાં કપડાં ભીખ માંગીને નહીં પરંતુ સગાવહાલાંની ભેટથી મળતાં. મારું નામ પણ પહેલાં ગોપાલ, તે છઠા વર્ષે જગદીશ બન્યું. પાંચ વર્ષ  કામચલાઉ નામ આપવાનું કારણ એમજ કે તે જમાનામાં ઘણાં બાળકો વહેલાં ગુજરી જતાં. તેથી કાયમી નામ મોડું મળ્યું. આજે ૭૬ની ઉમરે કુટુંબીજનો મને ગોપાલથી જ બોલાવે છે.

    નડિયાદમાં બાપુજીની સ્પોર્ટના સામાનની દુકાન હતી. તે સમયે નિશાળો, કૉલેજો, વ્યાયામશાળા કે પોળમાં રમાતી રમતોનો સામાન અમારે ત્યાં વેચાતો. હું આઠ-દસ વર્ષનો હતો ત્યારે નબળો અને બિકણ હતો તેથી ક્રિકેટ સારું રમી શકતો ન હતો. પોળના બાળકોની એક ટીમ હતી, તેને અમે પાટી કહેતા. બોલ-બેટ દુકાનમાં થી મને મફતમાં મળતાં તેથી હું ટીમને ભેટ આપતો. તે કારણે ટીમમાં મને કાયમ, યોગ્યતા ન હોવા છતાં, સ્થાન મળતું.

    નડિયાદમાં નાત કે વ્યયસાવ પ્રમાણે બધી પોળો હતી. જેમકે કંસારવાડ, મોદીસાંથ, શેઠપોળ, વગેરે. અમે મૂળ ધર્મજના અને અમારી અટક પટેલ, પણ દેસાઈવગોમાં બધા દેસાઈઓ વચ્ચે વસવાટ કરેલો. સામાન્ય રીતે નડિયાદના યુવાનો બહુ તોફાની હોય છે તેવી માન્યતા ત્યારે પ્રચલિત હતી. જેથી મારા બાને ચિંતા થતી કે હું ખરાબ સોબતમાં આવીને બગડી જઈશ. સાચી વાત તો એ હતી કે હું ડરપોક હતો તેથી બાનો અજંપો અસ્થાને હતો. આજે છ દસકા પછી પણ મને નઠારા સપના આવે છે. જેમ કે હું પતંગ ચઢાવવા છાપરા પર ચઢ્યો છું અને નીચે ઉતરાતું નથી, અથવા કૂતરો મારી પાછળ દોડે છે અને હું પડી જાઉં છું, અને મારું માથું પથ્થર પર અથડાય છે. મહા મહિનામાં નડિયાદના પ્રખ્યાત સંતરામ મંદિરમાં મોટો મેળો થાય તેમાં અમે ચાનો સ્ટોર કરતા અને ટીમ માટે પૈસા બનાવતા. કોઈ વાર સારી ફિલ્મ આવી હોય તો વહેલા વહેલા લાઇનમાં ઊભા રહી ટિકિટો લઈ કાળાબજારમાં વેચતા પણ હતા. ધૂળેટીના દિવસે રસ્તા પર આવતા-જતા લોકોને રંગનો ડર આપી પૈસા ભેગા કરવાનું દર વર્ષે થતું. પછી તે દિવસે ખેતરમાં જઈ માટલાનું ઉંધિયું અને ફરસાણ ખાવાની મજા ઘણી વાર યાદ આવે છે, તેની તીવ્ર ઇચ્છા આજે પણ થાય છે. પોળમાં અમે આધુનિક અને સુધરેલા કુટુંબના હોવાથી અમારું માન હતું. તે સમયના મોટા ભાગના લોકોની જેમ અમે સુખી અને સંતોષી જીવન જીવતા.

    પ્રાથમિક અને માધ્યમિક શાળાના અભ્યાસ પછી હું વડોદરા એમ. એસ. યુનિવર્સિટીમાં એન્જિનિયર થવા ગયો. ત્યાં ચાર વર્ષે સહેલાઈથી, સરળ ઝરણાના વહેણની માફક, પસાર થયાં. મારા વિદ્યાર્થી જીવનનો અંત આવ્યો.

    પુખ્ત ઉંમરનું પહેલું પાનું પણ લખાયું ન હતું ત્યારે મને જીવનની વાસ્તવિકતાનો અનુભવ થયો. મારી કસોટી થઈ.

    કૉલેજના પરિણામ અને સફળતા પછી હું અમદાવાદ મામાને ઘરે હતો ત્યારે સમાચાર આવ્યા કે મારા પિતા હૃદયરોગના હુમલાથી અચાનક મૃત્યુ પામ્યા છે. તે સમયે કુટુંબ રતલામમાં રહેતું હતું. અમે તરત ગાડીમાં નિકળી, લાંબી મુસાફરી કરી સીધા સ્મશાન પર ગયા. ત્યાં મેં મોટા દિકરા તરીકે તેમનો અગ્નિદાહ કર્યો. સ્મશાનમાં મને વિચાર આવવા લાગ્યા. મારી બે કુંવારી બહેનો અને ભાઈ હવે મારા પર નિર્ભર થવાના હતા. મોટાભાઈ તરીકે, પ્રણાલિકા પ્રમાણે, તેમની જવાબદારી મારી ગણાય. બાપુજી ખાધે પીધે સુખી, પણ બધી મિલકત એક પછી એક વેચી, દિકરીઓના લગ્ન પ્રસંગે  સમાજના રિવાજો નીભાવવા, તેમણે અખૂટ ખર્ચો કર્યો હતો. સમાજસુધારા માટે ઘણી પરંપરાનો બહિષ્કાર પણ કર્યો હતો. તેથી મરણના સમયે બાપુજી પાસે મકાન સિવાય બહુ એસેટ નહીં. મને થયું કે સમાજ હવે મારી સ્થિતિ માટે મને દયાપાત્ર ગણશે. મેં નક્કી કર્યું કે મારે જવાબદારી નિભાવવા જે કરવું પડે તે હું મક્કમ મને, ધ્યેય પર નજર રાખી, કોઈ કે કશાની ચિંતા વગર કરીશ. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે તેમ મારાં ધર્મ અને ફરજ બજાવીશ, મારા કર્મથી.

    ૧૯૬૭ માં વડોદરાના મોટાભાગના સ્નાતક એન્જિનિયરો અમેરિકા જવા આતુર હતા. મેં પણ મુંબઈ જઈ અંગ્રેજીની પરીક્ષા પાસ કરી કૉલેજમાં એડમિશન માટે અરજીઓ કરી. પરંતુ મારો પ્રથમ વર્ગ ન હોવાથી તકલીફ પડી. તે સિવાય ખર્ચાનો પણ સવાલ. નસીબજોગે મામાએ ટિકીટની, અને મારા ફોઈનો દિકરો દિલીપ જે બે વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો તેણે સ્પોન્સરશીપની વ્યવસ્થા કરી. તે સમય દરમ્યાન, એડમિશનની રાહ જોતાં, મેં અમદાવાદમાં એન્જિનિયરની નોકરી મેળવી.

    તે પંદર મહિનાના ગાળામાં, અમેરિકા જવા આતુરતાથી વાટ જોઈ રહ્યો હતો ત્યારે, ચાલુ થઈ મારી પ્રેમકથા.


    ક્રમશઃ

  • વામા-વિશ્વ : બાર ડાન્સરથી બોલીવુડ રાઈટર : શગુફતા રફીક

     ”ભલે મેં પ્રાઇવેટ પાર્ટીઓમાં નાની વયે ડાન્સ કર્યો પણ મને ગર્વ છે કે હું ને મારી માતા ઈજ્જતની રોટી ખાતા, અમે કોઈની પાસે ભીખ માંગી નથી”

    અનુરાધા દેરાસરી.  

    ગુજરાતીમાં એક રૂઢિપ્રયોગ છે, ‘નસીબનું પાદડું ખસવું’ એટલે કે જીવનમાં અણધારેલી, અચાનક જબરજસ્ત કોઈપણ ક્ષેત્રમાં સફળતા મળવી.

    શગુફતા રફીકના જીવનમાં આ રૂઢિપ્રયોગ સાચો પડયો.

    બાર ડાન્સના પ્લેટફોર્મથી બોલીવુડના લેખક તરીકેની જીવન સફર.

    દુબઈ હોટેલોના ડાન્સબારથી ‘કલયુગ’ ફીલ્મના ડાયલોગ અને પછી આશીકી-૨ જેવી સફળ ફિલ્મની રાઈટર તરીકેની સફળતા.

    શગુફતા રફીકનું જીવન અત્યંત સંઘર્ષમય રહ્યું. તેણે બાળપણથી જવાની સુધી શું ના જોયું ? નજર તેના જીવન પર નાખીએ તો જરૂર રૃંવાડા ઊભા થઈ જાય.

    શગુફતા રફીકના જૈવીક માતા-પિતા (બાયોલોજીકલ પેરન્ટસ)ની કોઈ જાણ નથી. તે ખૂબ નાની હતી ત્યારે તે વખતના એકટ્રેસ, અનવરીબેગમે તેને ઉછેરવા માંડી, પોતાની સાથે રાખીને લગભગ દત્તક લીધી એમ કહી શકાય. સાત વર્ષ સુધી શગુફતાનું બાળપણ આનંદમાં અને મુશ્કેલી વગર વીત્યું. તે શાળાના સાતમાં ધોરણમાં આવી અને તેના જીવને પલટો ખાધો.

    તેના પાલક પિતા એટલે અનવરી બેગમના પતિ મૃત્યુ પામ્યા. અનવરી બેગમે પણ ફિલ્મ સૃષ્ટી છોડી દીધી હતી. થોડો સમય બચત વગેરેમાંથી ઘર ચાલ્યું પછી ઘરેણાં ને ઘરની જણસો વેચવાનો વારો આવ્યો. મા દીકરીને બે ટંક ખાવાના જ સાંસા પડવા લાગ્યા એટલે શગુફતાને શાળામાંથી ઉઠાડી લીધી.

    ઘર ગૃહસ્થી ચલાવવાના ફાંફા હતા એટલે નાની શગુફતા પર આર્થિક ટેકાનો ભાર આવી ગયો. શગુફતા ડાન્સ સારો કરતી હતી. આથી નવ વર્ષની કુમળી વયે, પ્રાઇવેટ ધનાઢ્ય પાર્ટીઓમાં, તે ડાન્સ કરવા લાગી.

    આ દિવસો યાદ કરતાં, શગુફતા કહે છે કે, ”હું નાની હતી, ડાન્સ કરતી, મોટા મોટા, જાડા જાડા ધનાઢ્ય પુરૂષો મારા પર નોટો ઉછાળતા, કોઈ આવીને મારી નજર ઉતારવાનો દેખાવ કરી, શરીરની સાવ નજીકથી પૈસા ફેંકતા મને આ મારા કૃત્ય માટે એટલી ધૃણા આવતી પણ મારી પાસે કમાવવા માટે બીજો કોઈ રસ્તો ન હતો. એ સમયે ફિલ્મ લાઇનમાં ચાઈલ્ડ આર્ટીસ્ટને કોઈ કામ આપવાનો શીરસ્તો ન હતો. મેં આ ધૃણા દસ વર્ષ સહન કરી પણ મને ગર્વ છે કે હું ને મારી માતા ઈજ્જતની રોટી ખાતા હતા. કોઈની પાસે ભીખ માંગવાનો વારો ના આવ્યો.

    ૧૭ વર્ષની વયે શગુફતાને સેક્સવર્કર તરીકે કામ કરવાનું શરૂ કરવું પડયું. તેની એ ચાલમાં, કર્કશ પથારી પર, અનેક મીલીઓનર પુરૂષોને તેણે સાથ આપ્યો. શગુફતાનો આ નિર્ણય સારા માટે ન હતો, પણ જીવનની સંજોગોએ ઊભી કરેલી હતાશા અને પેટનો ખાડો પૂરવા માટેનો રસ્તો હતો. તે રાત્રિના રૃા. ૩૦૦૦ લેતી, તેની આર્થિક સ્થિતિ સુધરી પરંતુ શારીરિક અને સામાજીક સ્થિતિ બગડી.

    અનવરીબેગમે, મા તરીકે આ કાર્યનો ખૂબ વિરોધ કર્યો પરંતુ શગુફતા પાસે કોઈ વિકલ્પ ન હતો. નાની વયે પાર્ટીઓમાં ડાન્સ કર્યા પછી એ સમયના જૂનવાણી વિચારોને કારણે તેની પ્રતિષ્ઠા ખરડાઈ ચૂકી હતી.

    શગુફતા આ સમય માટે કહે છે કે, ‘મારી માની ભૂખ સામે, આ કાર્ય સાવ નાનું હતું. મારી મા મારું સર્વસ્ત હતી.’

    અત્રે એક વાત યાદ કરાવવી જરૂરી છે કે, આપણો સમાજ વૈશ્યાઓ અને તેના બ્રોથેલ માટે નકારાત્મક વિચારો ધરાવે છે કારણ કે તેમનું કામ એવું છે, પરંતુ મોટાભાગની મહિલાઓ સંજોગોની મજબૂરી, હતાશા અને જીવનના નકારાત્મક સંજોગોને કારણે આ વ્યવસાયમાં ધકેલાઈ જાય છે.

    અનવરીબેગમને મા તરીકે શગુફતા આ ધંધામાં કામ કરે તે ખટકતું હતું અને મંજૂર ન હતું. આથી તેમણે દુબાઈની હોટલોના બારમાં ડાન્સર તરીકે શગુફતા માટે કાર્ય શોધી કાઢ્યું અને શગુફતા દુબઈની હોટેલોમાં બાર ડાન્સ તરીકે પહોંચી ગઈ.

    આ વ્યવસાય પણ કંઈ ખૂબ સારો ન હતો. શગુફતા લખે છે કે, ‘સતત દારૂની બાટલીઓમાંથી દારૂ પીતા પુરુષો, સીગરેટના ધુમાડા કાઢતા પુરુષો અને તેમની લોલુપતાભરી નજરો પણ એટલું સારું હતું કે, એ ખરાબ દૃષ્ટિથી જ અટકી જતું, મારે દેહવિક્રય કરવો પડતો નહીં.’

    શગુફતા પોતાનો બાર ડાન્સરનો વ્યવસાય ખૂબ શરાફતથી કરતી. તેની આ શરાફત એક ધનાઢ્ય આધેડ વયના પુરુષને સ્પર્શી ગઈ અને તેણે પોતાના ઘેર શગુફતાને રાખી. થોડો સમય, આમ વીત્યો હવે, શગુફતાને જીવનની એરણે સંપૂર્ણ ઘડી કાઢી હતી.

    અનવરીબેગમને કેન્સરનું નિદાન થયું, મા માટે શગુફતા ભારત પાછી ફરી, આ તેના જીવનનું ટર્નિંગ પોઈન્ટ હતો.

    ઘણી કોશિશ અને દવા કરવા છતાં અનવરીબેગમ બચ્યા નહીં. માના મૃત્યુનો આઘાત શગુફતાને ઘણો લાગ્યો કારણ કે તે હવે દુનિયામાં એકલી થઈ ગઈ.

    પરંતુ શગુફતાએ નક્કી કર્યું કે, તે હવે બાર ડાન્સરના કે અન્યમાં પાછી નહીં ફરે. તેને પહેલેથી લખવાનો શોખ હતો, આથી તેણે નક્કી કર્યું કે, હું મારા સંઘર્ષના અનુભવો લખી એને વિશ્વ સમક્ષ કહાનીના સ્વરૂપમાં મૂકીશ અને તેણે સ્ટોરી ટેલિંગ શરૂ કર્યું.

    બસ આ કાર્યએ તેના નસીબનું પાદડું ખસેડી દીધું. સ્ટોરી ટેલિંગ કરતા કરતાં શગુફતા, રફીક બોલીવુડના જાણીતા ડાયરેક્ટર અને ફીલ્મ મેકર મહેશ ભટ્ટના સંપર્કમાં આવી. મહેશ ભટ્ટે શગુફતાની ‘સ્ટોરી ટેલિંગ’ના વિષય વિષે જાણ્યું તેમને શગુફતાની વાતામાં ખૂબ ઊંડાઈ લાગી અને લાગ્યું કે, આ છોકરી જો બોલીવુડમાં સ્ક્રીપ્ટ રાઇટર બને તો બોલીવુડમાં ભૂચાલ લાવી દેશે. અને તેમણે શગુફતાને બોલીવુડમાં કામ કરવા અંગેની પ્રેરણા આપી અને ભટ્ટ કેમ્પમાં લખવાની તક આપી.

    સૌ પ્રથમ શગુફતા રફીકે ‘કલયુગ’ ફિલ્મના ડાયલોગ લખ્યા. બસ આ શરૂ થઈ તેની બોલીવુડની સફર. ધીરે ધીરે શગુફતા એક પછી એક પગથિયા ચઢતી ગઈ. પ્રથમ સ્ક્રીપ રાઇટર બની અને પછી એક સ્ટોરીઓ લખતી ગઈ.

    શગુફતાનું ફિલ્મી રાઇટર તરીકેનું પ્રથમ મુવી ‘વો લમ્હે’ જેની શગુફતાએ કહાની અને સ્ક્રીનપ્લે બંને લખ્યા છે. મહેશ ભટ્ટના વિશ્વાસ ફિલ્મમાં તેણે લેખનનું વધારે યોગદાન આપ્યું છે.

    ‘વો લમ્હે’ પછી શગુફતાએ આવારાપન, રાઝ, મર્ડર-૨ અને સૌથી સફળ આશીકી-૨ ની વાર્તા અને સ્ક્રીનપ્લે લખ્યા.

    આ ઉપરાંત શગુફતાએ પાકિસ્તાનની સૌથી લોકપ્રિય ટીવી સીરીયલ ‘લંબી જુદાઈ’ની વાર્તા લખી છે જે ખૂબ લોકપ્રિય થઈ હતી.

    વર્તમાન સમયમાં શગુફતા રફીક પોતાના જીવનના પ્રસંગોને વણીને સ્ટોરીટેલિંગ કરે છે, તેને મળતાં બોલીવુડની ફિલ્મો અંગે લેખન કરે છે ઉપરાંત પંજાબી ફીલ્મ અને બંગાળી ફિલ્મોના ડીરેકશનમાં પણ મદદ કરે છે.

    શગુફતા કહે છે, ‘હું જીવનમાં ગમે તેટલી સફળતા મેળવું પરંતુ મારા જીવનના સંઘર્ષમય દિવસો અને મારી માતાને હું ક્યારે પણ ભૂલી નહીં શકું. આજની સફળતાનો પાયો એ ભૂતકાળમાં રહેલો છે.’

    સેલ્યુટ ટુ શગુફતા રફીક… !

  • કૃત્રિમ બુધ્ધિમતાથી સર્જાઈ શકે છે અસલી જળસંકટ

    નિસબત

    ચંદુ મહેરિયા

    પુસ્તકનો ઉપયોગ કરનારને સાચી રીતે જ ટકોરવામાં આવે છે કે એક વૃક્ષની કતલથી બનેલા કાગળ પર છપાયેલું આ પુસ્તક છે. આજકાલ એઆઈનો ઉપયોગ વધ્યો છે ત્યારે ચેટબોટને સવાલ પૂછનારને કહેવાય છે કે તેના આ કૃત્યથી ઝરણું સૂકાઈ જાય એટલું પાણી વપરાય છે! કૃત્રિમ બુધ્ધિમતા કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવ સભ્યતાની સૌથી મોટી અને સૌથી વધુ શક્તિશાળી તકનિકી ક્રાંતિઓમાંની એક છે. એઆઈનો વપરાશ ઘણાં માનવીના રોજબરોજના જીવનનો એક હિસ્સો બની ગયો છે. વિશ્વની સૌથી ઝડપથી વિકસતી આ ટેકનિકનો ઉપયોગ શિક્ષણ, સંચાર, સંરક્ષણ, આરોગ્ય, ખેતી અને વ્યાપાર-ઉદ્યોગમાં થાય છે. ફોટા, વિડીયો, એઆઈસર્ચ, ચેટબોટ જેવી બાબતોથી માણસ હેવાયો થઈ રહ્યો છે. એઆઈ જનરેટેડ ફોટો કે સવાલ પૂછવાથી એક ઝરણું સૂકાઈ જાય તેટલું પાણી વપરાય જાય છે એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ હોઈ શકે છે પરંતુ એઆઈના ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ પર માઠી અસરો પડી રહી છે તે બાબત બેબુનિયાદ નથી જ .

    એઝ સચ એઆઈને ખુદને કોઈ પાણીની જરૂરિયાત નથી. પરંતુ એઆઈના ડેટા સેન્ટરોને છે. ડેટા સેન્ટર એઆઈને શક્તિ પ્રદાન કરતું એક પાયાનું વૈશ્વિક માળખું છે. એઆઈ મોડેલને ટ્રેનિંગ આપવા અને ઉપયોગકર્તાઓના સવાલોના જવાબ આપવા કમ્પ્યૂટિંગની તાકાત જરૂરી છે. ડેટા સેન્ટરોના સર્વર તેના કારણે ગરમ થાય છે. તેને ઠંડા રાખવા વિવિધ કૂલિંગ પ્રણાલી અપનાવવામાં આવે છે. તે માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે.

    જેમ જેમ એઆઈનો ઉપયોગ વધશે, તે વધુ વિકસિત થશે તેમ તેમ ડેટા સેન્ટરોનું પ્રમાણ પણ વધારવું પડશે અને તે માટે વધુ પાણી અને વીજળીની જરૂર પડશે. જ્યારે માનવજાત અનિયમિત વરસાદ, જળવાયુ પરિવર્તન, ઝડપી એટલું જ  અંધાધૂંધ શહેરીકરણ અને વસ્તી વૃધ્ધિની સમસ્યાઓથી પીડિત છે અને પાણી તથા વીજળી જરૂરિયાત કરતાં ઓછાં ઉપલબ્ધ છે ત્યારે એઆઈને કારણે પાણી અને વીજળીનો વપરાશ વધતાં તેની અછત અને સરવાળે સંકટ વધવાનું છે. એટલે એઆઈના વિકાસ સાથે જ પર્યાવરણ પર પડનારી તેની અસરોથી સચિંત થવાની અને તેના ઉપાયો શોધવાની જરૂર છે.

    જપાનના ટોકિયો સ્થિત યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે ક્રુત્રિમ બુધ્ધિમતાથી  સંબંધિત પાણીનો જે વપરાશ થવાનો છે તે આ દાયકાના (ઈ.સ.૨૦૩૦) અંત સુધીમાં ૧.૩ અબજ લોકોની ઘરેલુ જરૂરિયાત જેટલો હશે. એઆઈ ૨૦૩૦ સુધીમાં ૯.૩ લાખ કરોડ લીટર પાણી પી જશે તેવો અંદાજ છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા પ્રમાણે ૨૦૩૦ સુધીમાં ડેટા સેન્ટરો લગભગ  વાર્ષિક ૯૪૫ ટેરાવોટ અવર વીજળીનો વપરાશ કરી શકે છે. જે જાપાનની વાર્ષિક વીજળી વપરાશ બરાબર હશે. ભારતના ડેટા સેન્ટરોમાં ૨૦૨૫માં ૧૫૦ બિલિયન લીટર પાણી વપરાયું હતુ.એકલા અમેરિકાના ડેટા સેન્ટરોમાં ૨૦૨૩માં ૬૬ અબજ લીટર પાણી વપરાયું હતુ.  દુનિયાના ડેટા સેન્ટરોમાં ૨૦૨૫ સુધીમાં  ૪૪,૮૦૦ કરોડ યુનિટ વીજળી વપરાઈ હતી.  આ વીજળી વપરાશ વિશ્વના દેશોમાં અગિયારમા ક્રમે આવે તેટલી મોટી છે. એક એઆઈ જનરેટેડ ફોટો બનાવવામાં સાધારણ ફોટા કરતાં એક હજાર ગણી વધુ વીજળી વપરાય છે. એક વીડિયો બનાવવામાં એઆઈ ૪.૧ લીટર પાણી વાપરે છે અને ઘરનો એલઈડી બલ્બ ૪૨ કલાક ચાલે તેટલી વીજળી વાપરે છે. એઆઈના મોટા ભાષા મોડેલોની તાલીમમાં કોઈ મોટી કાર તેના સમગ્ર જીવન કાળ દરમિયાન ઉત્સર્જિત કરે છે તેટલો કાર્બન ડાયોકસાઈડ ઉત્સર્જિત કરે છે. દરરોજ ચેટજીપીએસ ૨૫૦ કરોડ સવાલોના જવાબો આપે છે એટલે તે કેટલું પાણી અને વીજળી વાપરતું હશે તેની કલ્પના કરી શકાય છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    જોકે કેટલાક નિષ્ણાતો એઆઈને કારણે પર્યાવરણને હાનિને બદલે લાભ થશે તેવા મતના પણ છે. દુનિયાના એક અબજ લોકો જ જેનો ઉપયોગ કરે છે તે એક આઈફોન બનાવવા માટે એઆઈ કરતાં વધુ વીજળી વપરાય છે. જ્યારે એઆઈ તેના કરતાં વધુ લોકોના વપરાશમાં છે. એટલે એઆઈ વધુ લોકો સુધી પહોંચે છે અને વધુ પ્રાસંગિક પણ છે. ઓપનઆઈના સીઈઓ સૈમ ઓલ્ટમૈન કહે છે કે ચેટજીપીટીની પાસેથી પ્રશ્નનો ઉત્તર મેળવવામાં એક ચમચી પાણીના પંદરમા ભાગ જેટલું જ પાણી વપરાય છે. જોકે ‘ મેકિંગ એઆઈ લેસ થસ્ટી’  અભ્યાસમાં કહેવાયું છે કે જીપીટી-૩ મોડેલમાં એક જવાબ મેળવવા ૨ થી ૧૦ ચમચી પાણી વપરાય છે.વળી સવાલ અને જવાબ કેટલા લાંબાટૂંકા છે તેના પર પાણીના વપરાશનો આધાર છે. અન્ય ઉગો જેટલું જ પાણી કૃત્રિમ બુધ્ધિમતા પણ વાપરે છે તેવી પણ દલીલ છે.

    એઆઈને કારણે સર્જાતી અસમાનતા પણ વિચારણીય મુદ્દો છે. એઆઈનો વિસ્તાર, તેની અસર અને પહોંચે નવી અસમાનતા સર્જી છે. એક અંદાજ પ્રમાણે ઈઆઈ નિષ્ણાત કમ્પ્યૂટિંગ ક્ષમતાનો ૯૦ ટકાથી વધુ હિસ્સો અમેરિકા અને ચીન એ બે દેશોમાં જ કેન્દ્રિત છે. વિશ્વના દોઢસો કરતાં વધુ દેશોમાં પર્યાપ્ત ઘરેલુ એઆઈનો અભાવ છે. જે દેશોને એઆઈનો સીધો કશો લાભ નથી તેના પર પર્યાવરણીય અસરો થાય છે. ડેટા સેન્ટરો ઘણા દુર્લભ જળ સંસાધનોનો ઉપભોગ કરે છે. ઠંડા પ્રદેશો કરતાં ગરમ પ્રદેશોના ડેટા સેન્ટરોમાં પાણીનો ઉપયોગ વધુ થાય છે. વિશ્વના ૪૫ ટકા ડેટા સેન્ટરો જ્યાં પાણીની ઉપલબ્ધતાનું જોખમ વધુ છે તેવા નદીના ખીણ પ્રદેશોમાં આવેલા છે જ્યારે દુકાળની શક્યતા ધરાવતા વિસ્તારોમાં ૪૭ ટકા ડેટા સેન્ટરો આવેલા છે. એઆઈનો લાભ વૈશ્વિક છે પરંતુ તેની પર્યાવરણી અસરો વિશિષ્ટ ક્ષેત્રોમાં જ થતી જોવા મળે છે. એઆઈ ઈન્ફ્રાસ્ટ્રકચરનો કચરો પણ અસમાનતા જન્માવે છે. ૨૦૩૦ સુધીમાં એઆઈ ઈન્ફ્રાફ્રાસ્ટ્રકચર ૨૫ લાખ ટન કચરો ઉત્પન્ન કરશે તેનો મોટો બોજ આર્થિક રીતે નબળા દેશો પર પડશે.

    જળ, જમીન અને પર્યાવરણ પર થનારી એઆઈની પ્રતિકૂળ અસરો માટે અત્યારથી જ સાવચેત થવાની જરૂર છે.. એઆઈના વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણનું સંતુલન જરૂરી છે. ઓછી વીજળી અને ઓછા પાણીની જરૂર પડે તેવા ડેટા સેન્ટરો વિકસાવવવા જોઈએ. વરસાદી પાણીનો સંઘરો, એક વાર વપરાયેલા પાણીનું શુધ્ધિકરણ કરી તેને ફરી ઉપયોગમાં લેવું અને અધિક કુશળ કુલિંગ ટેકનિક બાબતે વિચાર કરવો રહ્યો. ડેટા સેન્ટરોમાં વપરાતા પાણી અને ઉર્જા અંગે પારદર્શી સરકારી નીતિ ઘડાવી જોઈએ અને કંપનીઓને તેની વિગતો આપવાની ફરજ પાડવી જોઈએ. એઆઈનો વિવેકપૂર્વક અને સમજદારીભર્યો ઉપયોગ થાય અને બિનજરૂરી ઉપયોગ ન કરવા માટે લોકોએ પણ જાગ્રત થવાની જરૂર છે. કામની ગુણવત્તા અને દક્ષતામાં વૃધ્ધિની ખાતરી હોય તો જ એઆઈનો ઉપયોગ કરવો જોઈએ. પૃથ્વી પરના મર્યાદિત સંસાધનોનો વિવેકસભર ઉપયોગ અને તેનું સંરક્ષણ થાય તથા માનવજીવન પણ વધુ ઉન્નત બને તો જ ડિજિટલ વિકાસ સાર્થક બન્યો કહેવાય. .


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઘરગથ્થુ વિજ્ઞાન : ઉષ્માનું અવનવું

     પરેશ ર. વૈદ્ય

    નેહાએ જલદીથી દૂધ ગરમ કર્યું, ગ્લાસમાં રેડ્યું અને તેમાં ખાંડ ભેળવી ઠંડુ કરવા માટે એક બાઉલમાં પાણી રેડી ગ્લાસ તેમાં ઊભો કરી દીધો.

    “શૈલી, આ દૂધ રાખ્યું છે, ઠેડું થાય પછી પી લેજે” કહી એ ઉતાવળથી તૈયાર થવા ચાલી ગઈ. ઘણી વાર પછી શૈલીએ ગ્લાસ મોઢે માંડયો ત્યારે એ તો ચીસ પાડી ઊઠી.

    “મા, દૂધ બહુ ગરમ છે!’”

    નેહાને વિશ્વાસ ન પડયો. પરંતુ વાત ખરી હતી – પ્યાલામાં ઉપરનું દૂધ એટલું ગરમ હતું કે જાણે ઠંડું કરવા જ ન મૂક્યું હોય. પૂરતું ઠાર્યા પછી પણ બાળકને દૂધ ગરમ લાગ્યું તેવી વિચિત્ર લાગતી આ ઘટના પાછળ પ્રવાહીના ઠંડા પડવાની ખાસ પ્રક્રિયા કારણરૂપ હતી. એ ઘટના સમજવાને બહાને ચાલો આપણે પણ પદાર્થના ગરમ અને ઠંડા થવાની પ્રક્રિયાની સમજણ તાજી કરી લઈએ.

    વસ્તુ ગરમ કેમ થાય?

    પદાર્થની આણ્વિક રચનાનું ચિત્ર અહીં ફરી જુઓ.

    પદાર્થને ગરમી મળે ત્યારે તેના અણુઓ (કે પરમાણુઓ) જોરથી કંપન કરવા લાગે છે. ચિત્રમાં જોતાં જણાશે કે ઘન પદાર્થના અણુઓ એકબીજાને અડીને ગોઠવાયેલા હોય છે. આથી એકનું કંપન તેના પાડોશીને કંપન કરવા ફરજ પાડે છે. એ બીજો પરમાણુ ત્રીજાને હલાવે છે. એમ ગરમી કંપન સ્વરૂપે આગળ વધતી રહે છે. સ્વાભાવિક છે કે પદાર્થમાં ગરમ પ્રવાહ ઠંડા તરફ આગળ વધતો અર્હે છે. કડાઈને ગેસ પર મુકીએ ત્યારે જ્વાળા ભલે તલિયાને જ અડકતી હોય, પણ થોડીવારમાં તે ઉપર કડાં સુધી પહોંચી જ જાય છે. આ પ્રક્રિયાને ઉષ્ણતાનું ‘વહન’ કહે છે.

    પ્રવાહી અને વાયુમાં અણુઓ એકબીજા સાથે સજ્જડ સંપર્કમાં નથી હોતા. આથી એક અણુનું કંપન તેના પાડોશી અણુને કંપવા માટે ફરજ નથી પાડતું. તો પછી ગરમી પ્રસરે કેમ? કુદરતે તેના માટે જુદી વ્યવસ્થા કરી છે. ગરમીના કારણે પાણી કે હવા (અને વાયુઓ) હલકાં થાય અને તેથી ઉપર ચડે છે. ઉપર જઈ પોતાની જગ્યા બનાવવા માટે એ ત્યાં રહેલ ઠંડા પ્રવાહીને બાજુએ હટાવે છે. તુલનામાં ઠંડું હોવાર્થી એ પ્રવાહી ભારે પણગ છે અને તેથી વાસણમાં એ નીચે ઊતરે છે. આથી ચૂલામાંથી આવતી ગરમી મેળવવાનો વારો હવે આ નીચે ઊતરેલ પ્રવાહીનો છે. એ ગરમ થશે અને ઉપર જશે ત્યારે તેના કરતાં ઓછા ઉષ્ણતામાનવાળા પ્રવાહીને નીચે ધકેલશે. આમ વારવાર તપેલીને તળિયે મુલાકાત લઈ લઈને પ્રવાહી ઊકળવા જેટલી ગરમી પ્રાપ્ત કરી લે છે. વાયુમાં પણ આ જ પ્રક્રિયાથી ગરમી પ્રસરે છે. તેને ઉષ્ણતા ‘નયન’ (લઈ જવું) કહે છે. સ્વાભાવિક છે કે નિયત જથ્થાના ઘન પદાર્થ કરતાં એટલા જ પ્રવાહી અને વાયુને ગરમ થતાં થોડો વધારે વખત લાગે, કેમ કે અણુઓ જાતે પ્રવાસ કરીને ઉષ્મા પહોંચાડે છે.

    ગરમીના પ્રવાસની ત્રીજી રીત છે વિકિરણની. તેમાં ઊર્જાના સોત અને મેળવનારની વચ્ચે કોઈ માધ્યમ (એટલે કે અણુઓ)ની જરૂર નથી. સૂર્યની ગરમી પૃથ્વી પર આ રીતે, સીધી ઠેક મારીને, પહોંચે છે. શિયાળાની રાતે ચોકીદારો તાપણું શેકે છે તે પણ વિકિરણથી જ. તાપણાની ગરમ હવા તો ઉપર જતી હોય, તો આડી દિશામાં હાથ કેમ ગરમ થાય છે? ચારે તરફ વિકિરણથી ફેલાતી ગરમીના કારણે જ.

    રસોડાના સંદર્ભમાં ગરમી મેળવવાનો એક તદ્દન નિરાળો માર્ગ છે. જેમાં ઉષ્ણતાનું વહન કરવાનો પ્રશ્ન જ નથી થતો. એ છે માઈક્રોવેવ ઓવનનો. રેડિયો તરંગો વચ્ચે ખાદ્ય પદાર્થ મૂકવાથી તેમાં રહેલ પાણીના અણુઓ કંપન કરવા લાગે છે. તે રીતે આખો જથ્થો એકસાથે જ ગરમ થતો હોવાથી ઉષ્ણતા પ્રસરવાનો મુદ્દો જ નથી.

    ઠંડું થવા માટે : વસ્તુ કે વાનગી ગરમ થવાની ત્રણ-ચાર રીતો આપણે જોઈ, પરંતુ ગરમ વસ્તુઓ આપમેળે ઠંડા પડવાની એક જ રીત છે – તે છે વિકિરણની. ગરમ પદાર્થ હંમેશાં જ ગરમીનું ઉત્સર્જન કરતો રહે છે.જે આસપાસના પરિસરમાં મળી જાય છે. આ ઉત્સર્જનનો દર બે વાત પર આધાર રાખે – એક તો પદાર્થનું ઉષ્ણતામાન અને બીજી કે ગરમ પદાર્થની ઉષ્ણતાનું વિકિરણ કરે છે એ સપાટી કેટલી ખુલ્લી છે. પદાર્થના ઉષ્ણતામાન અને પરિસરના ઉષ્ણતામાન વચ્ચે  જેમ ફરક વધારે તેમ ઠંડા પડવાની ગતિ વધારે. આથી જ શિયાળામાં વાનગીઓ જલદી ઠંડી પડે છે.

    કુદરતના આ ક્રમ કરતાં વધારે ઝડપથી જો ચીજને ઠંડી પાડવી હોય તો પ્રયત્ન કરવા પડે, જેમાં પેલા ઉષ્ણતાવહન અને ઉષ્ણતાનયનના સિદ્ધાંતો લાગુ પડવા માંડે. દાખલા તરીકે જો ગરમ કૂકરને જલદી ખોલવું હોય તો તમે તેને પાણીના નળ નીચે ઠંડું પાડો છો. પાણીના સંપર્કમાં આવતાં ધાતુ પોતાની ગરમી પાણીને આપવા લાગે છે. કૂકરનો ઉપલો ભાગ ઠંડો થતાં તળિયાં તરફથી ગરમી ઉપર આવવા લાગે છે અને પાણી તેનેય ઠંડું કરતું વહે છે. થોડી વારમાં આપ્યું ફૂકર નું બહારનું વાસણ ઠંડું થઈ જાય છે. આની સરખામાણીમાં કુદરતી ઉત્સર્જન ઘણું ધીમું હોત.

    નેહાએ પાણીમાં દૂધનો પ્યાલો મૂક્યો તેમાં પણ કુદરતી ક્રમ કરતાં જલદી કામ કરવાની યુક્તિ હતી. તેની ભૂલ એટલી હતી ગ્લાસમાંનાં દૂધની સપાટી બહારનાં પાત્રમાં પાણીની સપાટી કરતાંય ઉપર હતી. (જુઓ ચિત્ર. અહીં ડાબી તરફનું ચિત્ર ગરમ દૂધ માટેનું છે તે જુઓ.)
    બાઉલ કે તાંસળીનું જે પાણી ગ્લાસને અડકેલું છે તે ગ્લાસ મારફત દૂધની ગરમી લેશે. ગરમ થયેલ પાણી ઉપર ચડી નવાં ઠંડાં પાણીને ગ્લાસ પાસે આવવા દેશે. જ્યાં લગી બાઉલનું બધું પાણી એક સમાન ગરમ થઈ જાય ત્યાં સુધી આ “ઉપર-નીચે’ ચાલ્યા કરશે. શક્ય છે કે દૂધ બહુ ગરમ હોય તો બાઉલનું પાણી બદલવું પણ પડે.

    પરંતુ આપણને વધારે રસ છે ગ્લાસની અંદર દૂધ કેમ ઠંડું પડે છે તે જોવામાં. અહીં પ્યાલાની ગોળ ફરતી સપાટી પાસેનું દૂધ ઠંડું પડે છે અને નીચે ઊતરે છે. અને ત્યાંથી ગરમ દૂધને ઉપર ધકેલે છે, જે કાળી જાડી રેખાથી બતાવ્યું છે. પરંતુ ઉપર ધકેલાતા આ દૂધની મુસાફરી માત્ર ‘B’ અક્ષરથી બતાવેલ ‘લેવલ” સુધી જ રહેશે. તેનાથી ઉપરનું (A-B હિસ્સાનું) દૂધ તો એટલું ગરમ અને હલકું છે કે ઉપર જતો દૂધનો પ્રવાહ Bથી ઉપર જઈ નહીં શકે. વર્તુળાકાર ગતિમાં ઠંડું અને ગરમ દૂધ ફર્યા કરશે, પણ માત્ર B સપાટીની નીચે જ.  એ જથ્થો આખો સમાન ઉષ્ણતામાને આવી જશે ત્યારે ઉષ્ણતાનું ‘નયન’ ફરતું બંધ થશે, પરંતુ AB હિસ્સો ગરમ જ રહેશે, કારણ કે પ્રવાહીમાં ઘન પદાર્થની જમ સંપર્ક દ્વારા ગરમી નથી જતી. જો પ્યાલો ધાતુનો હશે તો એ AB ભાગની ગરમી BC ભાગને મોકલશે, પરંતુ કાચના પ્યાલામાં એ પણ નથી થતું.

    આ પરિસ્થિતિ ઠગારી એટલે છે કે જો BC હિસ્સા પર હાથ રાખી પ્યાલો ઉપાડો તો એ ઠંડો જ લાગશે ! આથી બાળક વિશ્વાસથી તેને મોઢે લગાડે છે, અને ચોંકે છે. આવું ન બને તે માટે દૂધને ચમચીથી હલાવ્યા કરવું જોઈએ જેથી BC હિસ્સાનું ઠંડું દૂધ વારંવાર ઉપરના ભાગમાં આવ્યા કરે અને ઉષગતામાન બધે એકસમાન રહે. વધુ સરળ રસ્તો છે બહારના પાત્રમાં પાણીની સપાટી ગ્લાસમાંની દૂધની સપાટી જેટલી રાખવાનો.

    ઠંડા દૂધ માટે જુદો નિયમઃ પ્રવાહીમાં ગરમીના પ્રવાસની વિચિત્રતા અનુભવવી હોય તો ઠંડા દૂધ પર આ જ પ્રયોગ કરો. રેફ્રિજરેટરમાંથી કાઢેલ દૂધને સામાન્‍ય ઉષ્ણતામાને (રૂમ ટેમ્પરેચરે) લાવવા માટે ગૃહિગીઓ આ રીતે થોડી વાર બહાર મૂકતી જ હોય છે. એ જ પ્યાલા અને એ જ બાઉલમાં આ ઠંડા દૂધને મૂકો. અને બાઉલનું પાણી ઠંડું થતું જશે અને પ્યાજ્ઞાનું ગરમ થઈ રૂમના ઉષ્ણતામાને આવશે. જમણી તરફના ચિત્રમાં જુઓ કે દૂધની હરફર ડાબા ચિત્ર કરતા જુદી છે. પ્યાલાની દીવાલ તરફનું દૂધ ઠંડી ‘ગુમાવે’ છે તેથી હલકું થઈ ઉપર જાય છે. એને Bની સપાટીને રેખાની મર્યાદા નડતી નથી કારણ એનું ઉષ્ણતામાન છથી ઉપરના ઠંડા દૂધ કરતાં વધારે છે. એ ઉપર જતું જ રહે છે, છેક ટોચ સુધી. ત્યાંથી એ ઠંડા દૂધને નીચે ધકેલશે, જે કાળી જાડી રેખા બતાવે છે. એટલે પ્યાલાનું બધું જ દૂધ ગરમ થવાની પ્રક્રિયામાં ભાગ લે છે અને તેથી થોડી વારે બધા દૂધનું ઉષ્ણતામાન એકસમાન હશે. ગરમ દૂધ જેવું આશ્ચર્ય કે ઝાટકો અહીં નહીં મળે.

    પ્રવાહીની જમ વાયુ અને હવામાં પાણ ગરમીની આપલે ઉષ્ણતાનયનથી જ થાય છે. એક રીતે એ કુદરતનું વરદાન છે. ચૂલા અને ભટ્ટીઓમાંથી નીકળતો ગરમ ધુમાડો આ કારણે ઉપર ચાલ્યો જાય છે. નહીં તો એ આડો ફેલાતો હોત. અપવાદરૂપે પરિસ્થિતિઓમાં હજુય તેમ થાય છે, અને વાયુપ્રદૂષાણનું કારણ બને છે. પૃથ્વી પર વહેતા પવનો આ ‘નયન’ પ્રક્રિયાના ફળસ્વરૂપે જ છે. હવાની બાબતમાં ભેજ પણ આ પ્રક્રિયામાં થોડો ભાગ ભજવે છે અને માવઠાં જવી ઘટનાઓ બને છે જે સરળતાથી સમજવી મુશ્કેલ બને છે. વિશાળ પાયા ઉપર તો ભારતનું ચોમાસું પણ આ પ્રક્રિયાના પરિણામે છે, પરંતુ એ ઘરની બહારની ઘટના હોવાથી આ લેખમાળામાં ચર્ચામાં નહીં લઈએ.

    આમ છતાં એમ કહી શકાય કે કુદરતની આવી પ્રક્રિયાઓ ન સમજાય તો તો ચોંકાવે છે જ, પરંતુ સમજમાં આવે તો પણ આશ્ચર્યમુગ્ધ કર્યા વિના રહેતી નથી.


    સૌજન્યઃ નવનીત સમર્પણ જુલાઈ ૨૦૨૫


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • જૂની રંગભૂમિનાં લોકપ્રિય ગીતો : મંગલાચરણ

    જીના શેઠ

    પ્રાસ્તાવિક :

    વિશ્વના ઇતિહાસમાં એક સીમાચિહ્ન રૂપ ગણાય એવું કુદરત અને જીવન વિશેનું તત્ત્વજ્ઞાન ભારતે આપ્યું છે. સાથે ભારતીય સંસ્કૃતિએ જીવનને સ્પર્શતા દરેક વિષય ઉપર વિશદ છણાવટ કરતાં ગ્રંથો અને શાસ્ત્રો પણ આપ્યાં છે. જેમ કે યો ગ, આયુર્વેદ, જ્યોતિષ, સૌંદર્યશાસ્ત્ર, કામશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, નાટયશાસ્ત્ર વગેરે. જેમાં ‘નાટયશાસ્ત્ર’ કે જેને નાટયકલા સંબંધી પ્રાચીનતમ ગ્રંથ માનવામાં આવે છે. તેના રચયિતા હતા ભરતમુનિ. તેમણે નાટ્યશાસ્ત્રમાં નાટક અને તેનાં વિવિધ પાસાં, નટ, અભિનય, નાટ્યગૃહવિધાન અને નવરસ અંગે વિગતે ચર્ચા કરી છે. જે આજે પણ નાટક અને સિનેમાની કથાઓનું મૂળ છે.

    “રંગભૂમિ’ અથવા ‘રંગ’ શબ્દ આપણા દેશમાં લોકસમાજનું રંજન કરવાના પ્રકારો માટે ઘણા પ્રાચીનકાળથી વપરાયો છે. ગીત, વાઘ, નૃત્ય, નાટય આદિ કલાઓના પ્રયોગનાં સ્થળો તેમ જ વ્યાયામ આદિનાં સ્થળો માટે “રંગ” શબ્દ વ્યવહારમાં વપરાતો હતો.

    પૂર્વપરંપરા – ઇતિહાસ અને પુરાવાઓ

    જગતભરના સાહિત્યમાં નાટકે મહત્ત્વનું સ્થાન ધારણ કર્યું છે. સાહિત્યની સર્વ કૃતિઓમાં કાવ્યને શિખરસ્થાન આપવામાં આવ્યું છે અને કાવ્યમાં પણ નાટકને ઉત્તમ માનવામાં આવ્યું છે, માટે જ કહેવાયું છે કે “काव्येषु नाटकम् रम्यम्”- કાવ્યમાં નાટકની કલા રમ્ય છે અથવા “नाटकान्त कवित्वम् – કવિત્વ પ્રમાણે નાટક રચી જાણે તે જ સાચો કવિ એમ પણ કહેવાયું છે.

    કાલિદાસ

    સંસ્કૃતમાં પણ નાટકને બહુ ઊંચું સ્થાન મળ્યું છે. તેમાં ભારવી, સસાર દંડી, કાલિદાસ, શૂદ્રક જેવા નાટયકારોનાં નામ આદરથી લેવાય છે તો ભવભૂતિ, બાણ, શૂદ્રક જેવા લેખકોએ પોતાના નાટકોમાં નવી-નવી વાતો મૂકી છે. એવી જ રીતે ગ્રીક ટ્રેજડીસમાં “ઇડિપસ’ અને ‘ઈલેક્ટ્રા’ જેવાં પ્રયોગશીલ નાટકો થયાં તો શેક્સપિયરે ‘હેમલેટ’ અને ‘ઓથેલો’ની કથા કહી અને ઇબ્સન અને શૉ એ પણ પોતપોતાનાં નાટકો દ્રારા પોતાના સમાજના મહત્વના પ્રશ્રો રજૂ કર્યા, અને લોકમાનસને ઘડયું.

    ઇબ્સન

    નાટક એ બ્રહ્માએ સર્જલો પાંચમો વેદ છે અને કવિ કાલિદાસે તેને ચાક્ષુષ યજ્ઞ કહ્યો છે. સતી પાર્વતી આગળ ભગવાન શિવે પોતે શિવવિન્દકનો પાઠ સાત્વિક અભિનયથી વીતરાગ બની ભજવેલો અને નટરાજ બનેલા. સ્વર્ગમાં પણ નાટકો ભજવાતાં અને ઇન્દ્ર સમા દેવ એને આશ્રય આપતા એમ પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં થયેલા ઉલ્લેખ અનુસાર જાણવા મળે છે. તો રાજા-મહારાજાઓના યુગમાં પણ નાટયકલાને આશ્રય મળી રહેતો.

    જ્યોર્જ બનાર્ડ શૉ

    સોલંકીયુગના સિદ્ધરાજ જયસિંહના સમયમાં પણ નાટકો ભજવાયેલાં અને રાજા સિદ્ધરાજ વેશપલટો કરી નાટક જોવા જતા એવા નિર્દેશો સાંપડે છે. તો ગુજરાતમાં અણહિલપુરમાં અને બીજે
    નાટકો લખાતાં અને ભજવાતાં એની પણ માહિતી મળી આવે છે. વસ્તુપાળની આજ્ઞાથી શત્રુંજય પર – ઋપભદેવ ઉત્સવ પ્રસંગે ‘કરુણા વજયુધ’ નાટક ભજવાયું હતું. આમ, સોલંકીથી વાઘેલાવંશ સુધીના સમયમાં રચાયેલાં કે ભજવાયેલાં નાટકો કે નાટચકૃતિઓના ઉલ્લેખો મળી આવે છે.

    જૈન સાહિત્ય

    ૧૧મી સદીથી અનેક જૈન લેખકો તત્કાલીન ભદ્રવર્ગની ભાષા સંસ્કૃતમાં રચનાઓ કરતા. આ પ્રવાહ લગભગ ૧૮મી સદી સુધી જીવંત રહ્યો. હેમચંદ્રચાર્યના શિષ્ય રામચંદ્ર-ગુણચંદ્રે “નાટય દર્પણ’માં નાટકની વ્યાખ્યા કરી છે કે ‘પ્રેક્ષકોનાં હૃદયને નચાવે તે નાટક.’ રામચંદ્રનાં તો આવાં ૧૧ નાટકો પણ જાણીતાં છે. અનેક જૈન મુનિઓ લોકભાષા ‘જૂની ગુજરાતી’માં પણ લખતા. જૈન સૂરિઓની રાસ અને રાસઉની પ્રણાલી સુવિખ્યાત છે તો બીજી બાજુ ૧૪મી સદીમાં ગુજરાતી લોકનાટય સ્વરૂપે ભવાઈના વેશો પણ ભજવાતા.

    ગુજરાતની અસ્મિતા – ગ્રામ્ય નાટ્યમાં

    ભવાઈ

    ભવાઈ એ ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્વરૂપ છે. ભવ એટલે વિશ્વ અને આઈ એટલે માતા. ભવાઈમાં મા અંબાની ભક્તિને કેન્દ્રમાં રાખી નાટક ભજવવામાં આવે છે. ભવાઈના જુદા-જુદા વેશ હોય છે અને તે પ્રત્યેકમાં જુદા-જુદા વિષયો રજૂ થાય છે. ભવાઈ કરનારા કલાકારો નાયક અને ભોજક કોમમાંથી આવે છે અને ‘તરગાળા’ તરીકે ઓળખાય છે. જીવનને જોવાની અને તેમાં રહેલી નિર્બળતાને હાસ્યાસ્પદ રીતે રજૂ કરવાની આવડત તો આ ભવાયાઓને ગળયથૂથીમાંથી વરી છે. એક રાતના પાંચ-છ વેશ ભજવાય. ‘રાત થોડીને વેશ ઝાઝા’ એ કહેવતનું મૂળ અહીં છે.

    અસાઈત ઠાકર

    ભવાઈ અથવા વેશો તખવા માટે “અસાઇત’ની પ્રતિભાને સન્‍માનથી જોવામાં આવે છે. અસાઇત જૈનેતર કવિઓમાં જૂનામાં જૂનો ગણાય છે. એમણે ‘હંસાઊલી’ નામે લાંબું અને એતિહાસિક કાવ્ય રચ્યું છે. અસાઇતના નામે ૩૬૦ વેશો રચ્યાની વાત પણ વારંવાર સાંભળવામાં આવે છે.

    ટૂંકમાં ગુજરાતમાં નાટ્ચકલાનો ઇતિહાસ આમ તો પુરાણાકાળમાં લઈ જાય છે તેમ છતાં અસાઇત ઠાકર રંગભૂમિની પદ્ધતિસરની શરૂઆત લગભગ પોણા

    બસો વર્ષ પૂર્વે થયેલી એમ કહી શકાય. અંગ્રેજોના આવ્યા પછી અને પારસીઓના પ્રારંભિક પ્રયાસોને લીધે આપણે ત્યાં રંગભૂમિએ વ્યવસાવિક સ્વરૂપ ધારણ કર્યું જેથી મનોરંજન અને વિવિધ કલાસ્વરૂપોને માણવાનો અવસર સૌ કોઈને પ્રાપ્ત થયો.

    નાટ્યગૃહનો વિકાસ

    જગતમાં નાટકનો ઉદ્દભવ ધર્મ નિમિત્તે થયો છે અને ત્યારે યજ્ઞવેદીઓ જ નાટ્યશાળાનું પ્રાચીન સ્વરૂપ હતી. યજ્ઞ સમયે નાટકોનો અભિનય રજૂ થતો હતો. ‘હરિવંશ-પુરાણ’ની પ્રદ્યુમ્ન વિવાહની વાર્તામાં વાસુદેવ શ્રીકૃષ્ણે અશ્વમેધ યજ્ઞ કરેલો તેનો ઉલ્લેખ છે અને આ પ્રસંગે ભદ્ર નામના નટ દ્વારા એ સમયે હાજર રહેલા ઋપિમૂનિઓ સામે અદ્ભુત નાટ્યપ્રદર્શન કર્યું હતું અને એથી પુરસ્કારરૂપે તેને અવકાશમાં વિચરણ કરવાનું વરદાન આપવામાં આવ્યું હતું.  પિતામહ બ્રહ્માના આદેશથી મહાન સ્થપતિ વિશ્વકર્માએ બધાં લક્ષણોથી યુક્ત નાટ્યશાળાનું નિર્માણ કર્યું હતું. તેમાં મોટો નાટ્યમંડપ દેવતાઓ માટે, ‘મધ્યમ’ રાજા તથા શ્રેષ્ઠીઓ માટે અને ‘કનિષ્ઠ’ બાકીની પ્રજા માટે નક્કી કરવામાં આવ્યો હતો.

    પારસી નાટકમંડળીના સભ્યો

    પછીના કાળમાં નાટકની ભજવણીનું સ્થળ મોટા ભાગે રાજમહેલની સંગીતશાળા રહેતું. પ્રેક્ષકોમાં વચ્ચે સિંહાસન પ૨ મહારાજા, આજુબાજુ રાજકુટુંબના સભ્યો, પદાધિકારીઓ, સાહિત્યકારો, વિદ્વાનો તથા ખાસ આમંત્રિત પ્રજાજનો બેસતા. કેટલીક વાર નાટકો મંદિરોમાં તથા જાહેર પટાંગણોમાં પણ ભજવવામાં આવતાં. તો કેટલીક વખત જ્ઞાતિઓના વાડામાં કે મોટા કુટુંબીઓના વાડામાં પણ આવા પ્રયોગો થતા. કેટલીક વખત નાટ્યસંસ્થાઓ ખુલ્લી જમીનમાં ખાડો ખોદી પતરાંની વાડ કરી કાચું નાટ્યગૃહ ઊભું કરીને એમાં નાટકો ભજવતી. આથી એ ‘ખાડાનો ખેલ’ કે ‘ખાડાવાળી રંગભૂમિ’ તરીકે પણ ઓળખાતી.
    આમ દરેક સમયે પ્રજાએ પોતપોતાની રીતે રસ્તાઓ કાઢીને નાટક અને રંગભૂમિને પોતાના જીવનમાં સ્થાન આપ્યું જ છે. પાછળથી નાટકોની દેશવ્યાપી રજૂઆત અને પ્રચાર વધતાં નાટ્યશાળા (થિયેટર)ના નિર્માણ માટે પણ રસ જાગ્યો, જેના પ્રતાપે ઘણાં થિયેટરો બંધાયાં.

    રચના અને રજૂઆત

    જૂની રંગભૂમિનાં નાટકોમાં એક રંગમંચની પ્રથા હતી. નાટકની શરૂઆત પહેલાં ત્રણ ઘંટડીઓ વાગતી. પહેલી ઘંટડી વાગે એટલે કલાકારો તખ્તા પર આવે, પડદાની પૂજા થાય. બીજી ઘંટડીએ બધા જ  કલાકારો તેમજ નેપથ્યના કલાકારોને પ્રયોગની શરૂઆત બાબતે સાવધ થવાનું સૂચન થાય પછી ત્રીજી ઘંટડી વગાડાય તે પૂર્વે પ્રેક્ષકો પ્રેક્ષકગૃહમાં સ્થાપન થઈ ગયા હોય અને પડદો ઊંચકાય તે પહેલાં બંદૂકના ધડાકા જેવો ધડાકો થતો. એક લોખંડની નળીમાં પોટાશ ભરી તેને એક સળિયા દ્વારા દબાણ આપીને ધડાકો કરવામાં આવતો. આ ધડાકો રંગમંચ પર કોઈ પણ અનિચ્છનીય તત્ત્વ હોય તો તેને દૂર કરવાનું પ્રતીક હતું. પછી પૌરાણિક ચિત્રોથી શોભતો પડદો ઊંચકાતો. નાટક શરૂ થવાની આ નિશાની હતી.

    તખ્તાની સામે મધ્યસ્થળે હાર્મોનિયમ, તબલાં અને સારંગીવાળા પ્રેક્ષકો તરફ પીઠ કરીને બેઠા હોય. તેમના સંગીતના સૂરો સાથે સૂત્રધાર (દિગ્દર્શક), બાળાઓ અને અન્ય કલાકારો દ્વારા મંગલાચરણથી શુભ શરૂઆત કરવામાં આવતી. આમ બધાં સાથે મળીને જ્યારે સમૂહ પ્રાર્થનાગીત જેવી સ્તુતિ ગાતાં ત્યારે એક જુદા જ પ્રકારની એનર્જી ઉત્પન્ન થતી. જે સામૂહિક ચેતનાને જાગ્રત કરી એક પવિત્ર વાતાવરણ ખડું કરવામાં મદદ કરતી, સંસ્કૃત નાટકોની જેમ મરાઠી તેમ જ ગુજરાતી રંગભૂમિએ આ જ પરંપરા જાળવી રાખી તો બીજી બાજુ માતાજીના ચોકમાં ભજવાતી ભવાઈમાં પણ પ્રારંભ પ્રાર્થના અને પૂજાથી જ થતો.
    મંગલાચરણ એટલે ઈશ્વરની, ઇષ્ટદેવની કે ગણપતિની સ્તુતિ. મંગલ આચરણ પરથી શબ્દ થયો તે મંગલાચરણ. જેમાં તખ્તા પર મંગલ આચરણ શરૂ કરવાનો હેતુ એ જ કે આ તખ્તો મંગલકારી વસ્તુઓનું આચરણ કરી લોકોનું મનોરંજન કરવાનો શુભ હેતુ રાખે છે. અમંગલ આચરણને તખ્તા ઉપર એ સમયે કોઈ અવકાશ ન હતો.

    દરેક નાટક માટે આવી સ્તુતિની અલગ રચના કરવામાં આવતી, જેની બંદિશ શાસ્ત્રીય રાગ આધારિત રહેતી. આવા થોડાંક સ્તુતિ-પદ્યો પ્રસ્તુત છે જેમાં મંગલાચરણના શુભ ભાવોનો સંકેત છે.

    શ્રી ગિરિજાસૂત પૂરણદ્યામ પથમ સ્મરણ પ્રભુ પુનિતદ્યામ
    વિઘ્ન હરણ, ગુણનાથ શરણ
    રિદ્ધિ સિદ્ધિ આપ ચરણ
    સફળ સુયશ દાતા –
    ગુણનિધિ જ્ઞાતા –
    કોટી કોટી કરું પ્રણામ
    શ્રી ગિરિજા સૂત પૂરણદ્યામ

    નાટક : ‘વડીલોના વાંકે’

    લેખક : પ્રભુલાલ દ્વિવેદી
    શ્રી દેશી નાટક સમાજ

    પ્રભો પૂર્ણ અવતારને વંદન વારંવાર
    લલિત ત્રિભંગી આપ લલિતકલાઓનો સાર
    ગોવર્ધન ગોપાલ હે – ગીતાના ગાનારા
    કરે વિનંતી  ભારતી – ધરો ફરી અવતાર

    નાટક : ‘માયા ને મમતા’

    લેખક : મનસ્વી પ્રાંતિવાળા
    શ્રી દેશી નાટક સમાજ

    આ રીતે દરેક નાટકમાં નાટકની કથાવસ્તુ પ્રમાણે નાટ્યકાર તેના મંગલાચરણમાં એ પરમશક્તિને યાદ કરી મંગલકામના કરતો જોવામાં આવતો. જે મંગલમયભાવ સમગ્ર નાટ્યપ્રયોગ દરમિયાન નાટક કરવાવાળા તથા નાટક જોવાવાળા સૌ કોઈના મનોમસ્તિષ્કમાં કાયમ રહેતો. આવા મંગલ અને શુભભાવો સાથે સૌ કોઈ તખ્તાનો મોભો, મરતબો અને માન પણ જાળવતા.

    તખ્તાનો મોભો

    રંગભૂમિના તખ્તાનો મોભો પણ કેવો હતો ? ચાલુ નાટકે બૂટ-ચંપલ પહેરીને તમે ત્યાં જઈ ન શકો. નાટક પૂરતો બીડી, શરાબનો પ્રવેશ આવે એ ભલે બાકી તખ્તા ઉપર તમે તમારી આદત મુજબ એવું કાંઈ કરી ન શકો. મેકઅપ કરી તૈયાર થઈ જેવા કલાકારો તખ્તા ઉપર આવે કે તરત જ મુખ્ય પડદાને સંપૂર્ણ પૂજ્યભાવે નમન કરવાનું, રંગદેવતાનું ધ્યાન ધરવાનું અને પછી જ અન્ય ક્રિયામાં પ્રવૃત્ત થવાનું. જે-જે શહેરમાં સંસ્થા નાટક ભજવવા જાય તેની પ્રથમ રાત્રિએ તખ્તાને સમુદ્રના પાણીથી સાફ કરી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવતી. અગરબત્તીના ધૂપ અને શ્રીફળથી ડ્રોપ પડદાનું પૂજન થતું. હવે માનો તો આ પરંપરા છે, ભક્તિ છે ને ન માનો તો કિયાકાંડ કે વિધિવિધાન છે. આખરે બધું માણસની ભાવના પર આધાર રાખે છે, પણ આ પરંપરાને લીધે નાટકની પવિત્રતા જળવાતી.

    વિશ્વરંગભૂમિના સંદર્ભમાં આજે પણ ભારતીય કાવ્યનાટ્યપરંપરાને આદરથી જોવામાં આવે છે. એ એના માંગલ્યપૂર્ણ જીવનદર્શનને કારણે જ. જીવનદ્રશન એટલે જીવન તરફ જોવાનો દૃષ્ટિકોણ  અને આનંદતો એ વાતનો છે કે આ જીવનદર્શન વ્યવહારમાં પણ આવ્યું. તેથી જ આજે પણ કેટલાય અભિનેતાઓ કે કલાકર્મીઓ સ્ટેજ પર જતાં એને વંદન કરે છે. રમતવીરો પણ મેદાનમાં જતાં પહેલાં તેની માટીને નમન કરીને તેનું ઋણ સ્વીકાર કરતા જોવા મળે છે. તો જૂના જમાનાની વ્યાસાયિક પેઢીઓ પર પણ કેટલાક વણલખ્યા નિયમો પળાતા, મેં, તમે અને આપણે જોયા હશે, કારણ ભારતીય સંસ્કૃતિએ ક્યારે પણ બાહ્ય પ્રવૃત્તિને મહત્ત્વ નથી આપ્યું. આંતર જગત, આંતરિક વિકાસ અને આંતરિક સમૃદ્ધિ જે એનું લક્ષ્ય રહ્યું છે, ક્ષેત્ર ભલે ગમે તે હોય.


    ક્રમશઃ


    હવે પછી – નાન્દી : દુનિયાનું દર્પણ

    સુશ્રી જીનાબેન શેઠનો સંપર્ક આ વિજાણુ સરનામે થઈ શકે છેઃ jeenavsheth@gmail.com

  • ‘ભારત એક ખોજ’નું સંગીત – [ ૪ ] – મહાભારત

    દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ભારત એક ખોજનું સંગીત  

    (એક સમયે દૂરદર્શન પરથી પ્રસારિત, શ્યામ બેનેગલ દિગ્દર્શીત, જવાહરલાલ નહેરુના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્‍ડિયા’ પર આધારિત ધારાવાહિક ‘ભારત એક ખોજ’ ના સંગીતનો આસ્વાદ આ શ્રેણીમાં કરાવાયો છે. વનરાજ ભાટિયાએ તેનું સંગીત તૈયાર કર્યું હતું.)

    બીરેન કોઠારી

    ‘ભારત એક ખોજ’ના પાંચમા અને છઠ્ઠા હપ્તામાં મહાભારતની કથા છે.

    એપિસોડનો પ્રારંભ જ તીજનબાઈનાં ગાયન બોલ દો વૃંદાવન બિહારી લાલ કી જય થી (@ – ૨.૨.૮ થી ૨.૪૯) થાય છે. એ પછી કુંતી અને માદ્રી વચ્ચેના સંવાદો દ્વારા તેઓ મહાભારત કથા (@- ૫.૫૭ થી ૮.૫૧)માં પાંડવોના જન્મની વાત જણાવે છે. એ પછી કૌરવો અને પાંડવો વચ્ચે રમાયેલા દ્યુતના પ્રસંગોનાંદૃશ્યો છે જે પાંડવોના વનવાસમાં પરિણમે છે. અહીંથી (@- ૩૧.૧૭ થી – ૨૮.૩૯) ફરીથી તીજનબાઈ પાંડવોના વનવાસનું વૃતાંત ઉપાડી લે છે, જોકે તેઓ તો બેકગ્રાઉંડમાં જ બતાવાયાં છે. પછી વનવાસ પછી દુર્યોધન એક સોઈના ટોચકાં જેટલી પણ જમીન આપવાના કૃષ્ણના પ્રસ્તાવને ઠુકરાવે છે ત્યાં સુધીની વાત ફરી દૃશ્યસંવાદના ફોર્મેટ દ્વારા આગળ વધે છે. એ તબક્કે તીજનબાઈ હવે મહાભારતનાં યુદ્ધનું વર્ણન કરવા લાગે છે (@-૧૦.૪૦ થી) અને અર્જુન પોતાના હથિયાર કૃષ્ણ આગળ મુકીને યુદ્ધ કરવાની અશક્તિ જાહેર કરે છે ત્યાં (@ -૮.૦) પર આવીને અટકે છે.

    હપ્તાના અંતમાં બહુ સંક્ષેપમાં કૃષ્ણ દ્વારા અર્જુનને કહેવાયેલો ગીતા ઉપદેશ આવે છે, જેને પરિણામે અર્જુન યુદ્ધ માટે તૈયાર થાય છે.

    પાંચમો હપ્તો અહીં જોઈ શકાશે.

    છઠ્ઠા હપ્તાની શરૂઆતમાં કથકલીના માધ્યમથી ભીમે દુર્યોધનની જાંઘ તોડીને એ લોહીથી પોતાના હાથ ધોયા અને દ્રૌપદીના કેશ ધોયા એ દર્શાવાયું છે  (@૨.૨૮થી ૪.૫૮). એ પછી પ્રવકતાના વ્યક્તવ્ય સાથે સાથે ચાલી રહેલ નૃત્ય દ્વારા દર્શાવાયું છે કે ઇતિહાસનાં બૃહદ પરિપ્રેક્ષ્યમાં કુરૂક્ષેત્રનું યુદ્ધ માત્ર બે ભાઈઓ ભાઈઓ વચ્ચેનું જ યુદ્ધ નહીં પણ મધ્ય ભારતામાં ફેલાયેલાં અનેક નાનાં નાનાં રાજ્યોની જગ્યાએ એક નવી, કેન્દ્રીય, શાસન વ્યવસ્થાનો ઉદય થયો. એક રીતે એ નવા યુગની શરૂઆત હતી (@૫.૩૧ થી ૭.૦૦).

    એ પછી આખો હપ્તો માહાભારતનાં યુદ્ધેતર પરિણામોની દૃશ્યસંવાદ રજૂઆત છે.

    મહાભારત જેવી દીર્ઘ કથાને કેવળ દોઢેક કલાકમાં કહેવાનો મોટો પડકાર શ્યામ બેનેગલે સફળતાપૂર્વક ઝીલ્યો છે. ચૂંટેલા પ્રસંગોની ભજવણી ઊપરાંત પંડવાણી જેવા લોકનૃત્ય તેમજ કથકલી જેવા પરંપરાગત નૃત્યપ્રકારને પ્રયોજીને કથાપ્રવાહને સુંદર રીતે આગળ ધપાવાયો છે.

    છઠ્ઠો હપ્તો અહીં જોઈ શકાશે.


    Disclaimer:

    The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.


    ક્રમશઃ


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા | જીવવાનું એક કારણ નીકળ્યું

    (૧)  ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા – અમૃત ‘ઘાયલ’

    ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા;
    કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા.

    સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં,
    જો નીકળ્યાં તો સાથે લઈ જાન નીકળ્યાં.

    તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
    મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં.

    એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
    એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

    મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
    કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા.

    કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
    આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

    હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
    ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.


    (૨) જીવવાનું એક કારણ નીકળ્યું – કૈલાસ પંડિત

    જીવવાનું એક કારણ નીકળ્યું.
    ધૂળમાં ઢાંકેલું બચપણ નીકળ્યું.
    મેં કફન માનીને લીધું હાથમાં,
    એ સુખી માણસનું પહેરણ નીકળ્યું.

    તરબતર આંખોય પ્યાસી નીકળી,
    રાતરાણીની ઉદાસી નીકળી.
    તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા,
    ચાંદને જોવા અગાસી નીકળી.

    એકાદ એવી યાદ તો છોડી જવી હતી,
    છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી.
    વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે,
    થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી.

    ચાંદનીની રાહ એ જોતું નથી,
    આંગણું એકાંતને રોતું નથી.
    રાત પાસે આગિયા પણ હોય છે,
    એકલું અંધારું કાંઈ હોતું નથી.

  • કરણ ઘેલો – ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા : પ્રકરણ ૩ જું

    કર્ત્તા : નંદશંકર તુળજાશંકર

    જ્યારે કામજવરથી પીડાયલે કરણ રાજા પોતાનું ધારેલું કામ પાર પાડવાના વિચારમાં બીછાના ઉપર તરફડીયાં મારતો હતે તે વખતે બહાર રાતનો અમલ ઉતરીને રાત તથા દહાડાની મર્યાદાની વચ્ચેનો તકરારી વખત થયો હતો. આકાશ કેવળ સ્વચ્છ હતું. અરૂણે સોનાની કુંચીવડે પૂર્વ દિશાનો મોટો દરવાજો ઉઘાડ્યો, અને સુતી દુનિયાને જાહેર કીધું કે હવે સૌને કામે વળગવાનો વખત થયો છે. અરૂણ સારથી આવ્યો એટલે તેની પાછળ સૂર્યનારાયણ રથમાં બેસીને જલદીથી આવશે એવું જાણીને રસ્તામાં રમતા છોકરા મહેતાજીને આવતા જોઈ નાસી જાય છે તેમ તારાઓ એક પછી એક પોતપોતાનું મ્હોડું સંતાડવા લાગ્યા, ચંદ્ર તો તે પહેલાં અસ્ત થયલે જ હતો. શુક્રનો તારો જેને વિષે ગામડીયા લોકો કહે છે કે ચંદ્રમા મુઆ પછી એ તેની જગો સાચવશે, તે થોડી મુદત સુધી હિંમત રાખી ઉભો રહ્યો, પછી તે પણ જલદીથી ભરાઈ ગયે. સૂર્ય દેવતાને આદરમાન આપવાને પૂર્વ તરફ વાદળામાં ઇંદ્ર રાજાએ ઘણા ભભકાદાર રંગના સાથીયા પૂર્યા. તળાવોમાં કમળનાં ફુલ ખીલી તેઓએ પોતાના સૂર્ય પિતાને મળવાને પોતાનાં મ્હોડાં પૂર્વ તરફ ફેરવ્યાં. કુમુદિનીનાં ફુલની પાંદડી બીડાઈ જઈ નીચે નમી ગઈ. પોતાની પ્રિયાને ખીલેલી જોઈ ભમરાઓ કમળની આસપાસ ફરી ગુંઝાગુંઝ કરવા લાગ્યા. ચંપા, ચંબેલી, સેવતી, માલતી, વગેરે કુલોમાંથી મંદ મંદ સુગંધ શીતળ વાયુની સાથે ઘસડાઈ આવીને નાસિક ઈંદ્રિયને મગ્ન કીધી. ઠેકાણે ઠેકાણેથી દિવાકરના ચોપદાર કુકડાઓએ નેકી પોકારી. ચકલીઓ માળામાંથી નીકળી ચીંચીં કરવા લાગી. કાગડાઓ કાકા બોલવા લાગ્યા. પાંજરામાંનાં પોપટ, મેના ઈત્યાદિ પક્ષીએાએ મીઠા બોલથી પોતાના ધણીને જગાડ્યા; અને વાડીઓ તથા ઝાડીઓ સુંદર નાદવાળાં પક્ષિઓના શબ્દથી આનંદકારક થઈ રહી, દેવસ્થાનોમાં દેવને જગાડવાને નેાબત તથા શંખ વાગવા લાગ્યા. શહેરમાં ગરીબ લોકોનાં ઘરમાં ઘંટીનો ઘોર તથા તેની સાથે દળનાર બાયડીઓને શોર થઈ રહ્યો. કેટલાએક સવારે,સુતા સુતા પ્રભાતિયાં તથા બીજાં ભજન ગાવા મંડ્યા. છીપા, સોની, લુહાર કંસારા વગેરે ઉદ્યમી લોકોએ તે વખતે હથોડા ઠોકી શહેરના તે ભાગને ગજાવી મુક્યો. કોઈ કોઈ ઘરમાં એક અથવા વધારે બાયડીઓ બેસીને ઘરમાંના લાંબી મુદત ઉપર મુએલા માણસને વાસ્તે અમથો રાગડો કાઢી જૂઠું રડવા લાગી. તેઓની આંખ તેએાના મ્હોંને જવાબ દેતી ન હતી, કોઈ કોઈ ઘરમાં દહીં વલોવવાનો શબ્દ સંભળાતો હતો. રાજાના મહેલમાં ચોઘડીયાં વગેરે બીજાં વાજીંત્રો વાગી રહ્યાં હતાં. વિદ્યાર્થીઓ ઓટલે બેસી પાનાં હાથમાં રાખી ધુણતા ધુણતા આગલા દહાડાનું શીખેલું ફરીથી વાંચી જતા હતા. વાણિયાના છોકરા પોતાના અક્ષર ઠેરવવાને વાસ્તે દોપીસ્તાં લખવા બેઠા હતા. ગાય, ભેંસ ઈત્યાદિ પશુઓ ગળાના બંધ છુટ્યાથી આનંદમાં ગોવાળિયાની પાછળ ચરવા જતાં હતાં. કુળવંતી, સારા સ્વભાવની બાયડીઓ ઉઠી પોતાનાં ઘર વાળીઝાડી પેતાનાં છોકરાં તથા ધણીને સુખ આપવાનાં સાધન કરવામાં પડેલી હતી; તેમ દુષ્ટ શંખણી બાયડીઓ બબડતી, ફફડતી છોકરાંને ગાળ દેતી, તથા મારપછાડ કરતી, અને ધણીને ધમકાવતી આણીગમ તેણીગમ ઘરમાં ફરતી હતી. આળસુ, એદી, અફીણી, અને એવા સુસ્ત લોકો બગાસાં ખાતા ઢોલીયા ઉપર ગબડતાં હતા; પણ ઉદ્યમી ચાલાક લોકો ઉઠી દાતણ પાણી કરી પોતપોતાને ધંધે વળગ્યા હતા, દુકાનદારો તો થોડો નાસ્તો કરી લુગડાં પહેરી હાથમાં મોટી કુંચી લઈ દુકાને જતા હતા. કેટલાએક દુકાન ઉઘાડતા હતા. અને કેટલાએક તો દુકાન ઉઘાડી વાળી ઝાડી, ધોઈ તેની પૂજા કરી, માલ ગોઠવી દુકાન આગળનો રસ્તો સાફ કરતા હતા. કેટલાએક લોકો પાઘડી પહેરી અંગવસ્ત્ર ઓઢી હાથમાં લોટા લઈ શહેર બહાર જતા હતા. શહેરની સ્ત્રીઓ પાણી ભરીને માથા ઉપર બહેડાં ઉપર બહેડાં ચઢાવી ઘણી રમણિક ચાલથી પોતાના ધણી, સાસુ, નણંદ વિગેરેની વાતો કરતી ચાલી આવતી હતી, સહસ્ત્રલિંગ તળાવ ઉપર બ્રાહ્મણો પોતે નાહ્યા વગર બેસી બીજાઓને નાહવાના પુણ્યનો બોધ કરતા હતા અને તેઓનાં લુગડાં સાચવવાને સારૂ પૈસા લેતા હતા. તળાવમાં આસ્થાથી ઘણા લોકો નાહી ધોઈને સ્વચ્છ લુગડાં પહેરી ચાંલ્લા કરાવી દેવદર્શને જતા હતા, રાતના રાજા ઘૂડ તથા વનવાગળાં સવાર થવાથી કાગડા વિગેરે બીજાં પક્ષિના ધાકથી ઝાડામાં સંતાઈ જવાને ઉડી જતાં હતાં, ચકોર પક્ષિ તેના સ્વામિ ચંદ્રના અસ્ત પામવાથી કોઈ ગુપ્ત જગ્યાએ ભરાઈ બેઠું હતું. ચાર લોકો પોતાની આશા સફલ કરી અથવા તે નિષ્ફળ થવાથી નિસાસો મુકતા ઉતાવળથી પોતપોતાને ઘેર જતા હતા. મુસાફરો ચાલતા ઘોડે અથવા ગાડીમાં બેસીને ખુશીમાં અથવા ચિંતાતુર જતા હતા. રસ્તામાં ધેાબી બળદ લાદીને આનંદથી ગાતા ગાતા ઘાટ ઉપર જતા હતા. કેટલાએક ધનુર્વિદ્યા શીખવાને અથવા તેમાં અભ્યાસ વધારવાને નિશાન મારતા હતા. રજપૂત લોકો શહેર બહાર અથવા કોઈ ખુલ્લા મેદાનમાં પોતાના ઘોડાને ફેરવવા લેઈ જતા હતા. એ પ્રમાણે તે વખતે શહેરમો દેખાવ થઈ રહ્યો હતો.

    એ સવારે માધવના ઘરમાં બારીએ માંચી ઉપર એક સ્ત્રી નીચું મ્હોં ઘાલી ચિંતાતુર થઈ ઘણા વિચારમાં બેઠેલી હતી, તેનું લુગડું જથ૨૫થર તથા ચોટલો વીખરાયલો હતો; તેણે શરીરે આછું આછું ઘરેણું ઘાલેલું હતું તેથી તેની નાજુક તથા ખુબસુરત કાંતિની શોભા બદલે તેમાં જુદી જ તરેહનો મોહ દેખાતો હતો. તેનાં અવયવો એવાં નાજુક હતાં કે દાતણવાળો રૂપાનો કળશીયો હાથે ઉંચકી પોતાની પાસે મુકયો તે વખતે તેનો નાજુક હાથ એટલા ભારથી પણ મરડાઈ જશે એવી તેના શત્રુઓને પણ ફિકર લાગે, તે અઢાર વર્ષની ભર જુવાનીથી પ્રફુલ્લિત થયલી હતી, અને તેનું નામ રૂપસુન્દરી તેના રૂપને યોગ્ય જ હતું. પણ તે માધવની સ્ત્રી આ વખતે ચિંતાતુર થઈ શા માટે બેઠી હતી ? આજે સવારે વહેલી ઉઠી ત્યારે તેનો ધણી કાંઈ કામસર ગામ જવાને માટે નીચે ઉતરેલો હતો, તેથી ધારા પ્રમાણે તેનાથી તેનું મ્હોં જોવાયું નહી, પણ તેને બદલે સાવરણી ખુણામાં પડેલી હતી તે જોઈ ઓરડામાંથી બહાર નીકળી એટલામાં એક બીલાડી આડી ઉતરી; બારી તરફ નજર ગઈ ત્યારે રસ્તામાં એક રાંડેલી બઈરી જતાં જોઈ. એ પ્રમાણે સવારના પહોરમાં તેને નઠારા શકુન થયા. તેનો ધણી ગામ જવા તથા ત્યાં આખો દહાડો રહેવાનો તેથી તેનું શું થશે એ વિષે તેને ભારે ફિકર થઈ, અને તે ગામ તે દહાડે ન જવાને તેણે તેને ઘણો સમજાવ્યો, પણ કામ અગત્યનું, રાજાનો હુકમ થયલો, અને પોતે નાગર એટલે વહેમ પણ થોડો તેથી વહુની વાત ન ગણકારતાં તે ગામ ગયો. તેના ગયા પછી તે મનમાં વિચાર કરવા બેઠી કે શકુનથી કાંઈ થતું નથી એ તો હું જાણું છું, પરમેશ્વરની ઈચ્છા વિના એક સળી પણ હાલતી નથી, તોપણ તેના મનમાં આવતું કે ભુંડો ભુંડાનો ભાવ ભજવ્યા વિના રહે જ નહી, માટે શૂળીનું વિઘ્ન કાંટે જાય તો જગદંબાની મોટી કૃપા સમજવી.

    એ પ્રમાણે વિચાર કરી રૂપસુન્દરી નીચે ઉતરી સ્નાન કરી પવિત્ર વસ્ત્રો પહેરી પાટલે બેઠી, એટલામાં તેની નજર જોશી મહારાજ ત્યાં આવેલા હતા તે ઉપર પડી, જોશીને જોતાં જ તેને સવારના માઠા શકુન યાદ આવ્યા તેથી તેણે સઘળી વાત તેની આગળ કહી. જોશીએ જરા સૂર્ય તરફ નજર કરી આસપાસ જોઈ તોળા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ ગણવા માંડ્યું, અને જરા વિચાર કરી જવાબ દીધો: “શકુન નડે એવું કાળયોગ ઉપરથી જણાતું તો નથી તો પણ શાસ્ત્ર પ્રમાણે તે વખતે તમારા અંગ ઉપર જે જે વસ્ત્રાભૂષણ હોય તે સઘળાં બ્રાહ્મણને દાન કરવાં જોઈએ, તમારી જન્મોત્રીની કુંડળી પણ મને મ્હોડે છે તે ઉપર ધ્યાન પહોંચાડતાં પણ કાંઈ વિપરીત થાય એવો સંભવ નથી, તમને માત્ર રાહુ પીડિત છે તેને માટે આજ તેનું દાન કરો તો સારું દાન ઘણું નથી; એક મહોર બસ છે.” રૂપસુંદરીએ તે જ ક્ષણે સવારે પહેરેલાં તમામ લુગડાં, ઘરેણાં તથા તે ઉપર એક સોનાની મહોર મુકીને પગે પડીને જોશી મહારાજને આપ્યાં.

    તેમને વિદાય કીધા પછી થોડું ઘણું દેવપૂજન કરી ભોજનની તૈયારી કીધી. પણ એટલામાં ઘરના આગલા ચોગાનમાં શોરબકોર થતો સાંભળ્યો. ચાકરને તુરત તેણે તજવીજ કરવાને મોકલ્યો, તેણે આવી જાહેર કીધું કે રાજાના હજારો સિપાઈઓએ આવી આપણો મહેલ ઘેરી લીધો છે, અને તેઓ આપણી ચોકીદારોને કાપી નાંખે છે.

    એ ખબર સાંભળતાં જ રૂપસુન્દરી મૂર્ચ્છાંગત થઈ ભોંય ઉપર પડી. કેટલાએક નામરદ ચાકરો નાસી જઈ ઘરમાં ખુણે ખોચરે ભરાઈ બેઠા, પણ કેટલાએક શૂરા ઈમાનદાર નોકરોને એ વાત સાંભળી શૂર ચડ્યું, અને પોતપોતાની ઢાલ, તલવાર વિગેરે જે જે હથીયાર હાથ આવ્યાં તે લઈ લડવા તૈયાર થઈ ઉભા રહ્યા. રૂપસુન્દરીની આગળ ઢાલ લઈને તેનો દીયર એટલે માધવનો ભાઈ કેશવ ઉભો રહ્યો. તેની ઉમર આસરે પચીસ વર્ષની હતી, અને પોતાના મોટા ભાઈએ રળીને તેને ઘણી મુદત સુધી ખવડાવ્યું હતું તેથી નાનપણથી તેને રળવાની ફીકર ન હતી. તેણે તેની સોળ વર્ષથી બાવીશ વર્ષ સુધીની ઉમર અંગકસરત, દાવપેચ, કુસ્તી, તલવારના પટ ઈત્યાદિ સિપાઈને ઉપયોગી થઈ પડે એવાં કામોમાં કાઢી હતી, તેથી જુવાનીના સ્વાભાવિક બળ સાથે તેનામાં કસરતથી મેળવેલું વિશેષ બળ હતું તેનું અંગ મજભૂત તથા સીનાદાર હતું. તેની આંખ જુસ્સાથી રાતી જ રહેતી, અને તેને વેચાતી લડાઈ લેવાની એવી તો ટેવ પડી ગઈ હતી કે માધવે તેને સારા ઉંચા હોદ્દા ઉપર નિમેલો હતો તો પણ જેમ બને તેમ તેને બીજા લોકો સાથે થોડો જ પ્રસંગ પડવા દેતો. તે તેના ભાઈના જેવો ખુબસૂરત તથા ગોરા વર્ણનો નહોતો; તોપણ લોહીની સ્વચ્છતાથી તેના રૂપ ઉપર જુદા જ પ્રકારનું તેજ દેખાતું હતું. તે બહાર આવો વાઘ હતો તો પણ ઘરમાં બકરી જેવો હતો, અને તેની છાતી બહારથી વજ્ર જેવી સખત હતી, તે પણ તેનું હૈયું ઘણું નરમ હતું. પોતાના ચાકર પાસે પોતાની વહાલી તલવાર મંગાવી એક હાથમાં તે પકડી બીજા હાથમાં ઢાલ રાખી ઉભો રહ્યો, અને હજારો માણસ તેના ઉપર એકદમ ટુટી પડે તો પણ મરાય તેટલા મારી આખરે મરવું એવો દૃઢ નિશ્ચય કરી તોફાની સમુદ્રની વચ્ચોવચ પથ્થરના ખડકની પેઠે રૂપસુન્દરીનું રક્ષણ કરવાને ઉભો રહ્યો.

    બહારના ચોગાનમાં ગડબડાટ વધ્યો; ઉછળતી તલવારનો ખડખડાટ કેશવને કાને પડ્યો, તેનું ચાલે તો ઉડીને ત્યાં જઈ શત્રુના કટકે કટકા કરી નાંખે; પણ સ્ત્રીનું રક્ષણ કરવું તેથી તેનાથી ત્યાંથી ચસાય નહી. એટલામાં એક મોટી ચીસની સાથે સો માણસો ઘરમાં પેઠાં, અને બારણા આગળ ઉભેલા માધવના ચાકરોને હઠાવીને તથા કાપી નાંખીને આગળ વધ્યાં. કેશવ તેમને આદરમાન આપવાને તૈયાર જ હતો, તણે એક ઘાથી આગલા સિપાઈના બે કકડા કીધા અને બીજે ઘાએ બીજાનું માથું તેના ધડથી જુદું પાડ્યું, સિપાઈઓ જરા આંચકો ખાઈ ઉભા, અને પોતાના નાયક સામું જોયું, નાયકે કેશવને કહ્યું, “સાંભળો ભાઈ ! અમે કંઈ ઈહાં મારામારી કરવા આવ્યા નથી. રાજાની ઇચ્છા રૂપસુન્દરીને લેવાની છે, તે જો તમે સલાહસંપથી આપશો તો અમે મુગા મુગા અમારૂં કામ કરીને ચાલ્યા જઈશું, નહી તો અમારે નકામી બ્રહ્મહત્યા કરવી પડશે, માટે વિચાર કરીને કામ કરજો. ”કેશવ ક્રોધથી રાતો હિંગળોક વર્ણ થઈ ગયો. તે બોલ્યો: “જો તારા કૃતઘ્ની, અધમ, વિષયી રાજાને રૂપસુંદરી જોઈતી હોય, અને તમને તેણે લેવા મોકલ્યા હોય, તો મને મારીને લઈ જાઓ. નાગર બચ્ચો કદી પોતાનો જીવ બચાવવા સારૂ પોતાના કુળ, ધર્મ તથા ન્યાતને કલંક લાગવા નહી દે.” તે સાંભળી નાયકે ઇસારત કીધી, એટલે એકલા કેશવ ઉપર તલવારના ઘાનો વરસાદ વરસાવ્યો, પણ એક તસુ ખશ્યા સિવાય તે મરણતોલ ઘાયલ થયો ત્યાં સુધી તેની તલવારે પાંચ અથવા સાત માણસનાં રૂધિર પીધાં. પણ ઘણા આગળ એકનો શો હીસાબ ? તેનું શરીર ઘાએ વીંધાઈ ગયું, આખું અંગ લોહીથી તરબોળ થઈ ગયું, અને અંતે એક કારી ઘા વાગવાથી, તથા લોહી વહેવાને લીધે અશકત થઈ જવાથી તે પડ્યો, અને એક ભયંકર ચીસની સાથે તેનો આત્મા આ દુષ્ટ તથા પ્રપંચી દુનિયાનો ત્યાગ કરી તેની અસલ ભૂમિમાં મહાન ન્યાયાધીશના તખ્ત આગળ જઈને ઉભો રહ્યો.

    કેશવની મરતી વખતની ચીસ સાંભળતાં જ રૂપસુન્દરીને ભાન આવ્યું, તથા આસપાસનો બનાવ જોઈ બોલી ઉઠી: “શિવ, શિવ, રે ભગવાન આ તે શો દૈવકોપ!” તે વધારે બોલે છે એટલામાં રાજાના સિપાઈઓએ તેને પકડી ઉંચકી લીધી, અને ઘરબહાર લઈ ગયા. બેભાન અવસ્થામાં રૂપસુન્દરીને સુખાસનમાં બેસાડી રાજમહેલમાં લાવ્યા અને સિપાઈઓ પોતપોતાને કામે વળગ્યા.

    રાજ્યપાઠિકાની ચંદ્રશાળામાં એક પલંગ ઉપર રૂપસુંદરી સુતેલી હતી અને તેની પાસે કરણ રાજા બેઠેલો હતો. રૂપસુંદરીના કેશ છુટા તથા વીખરાઈ ગયલા હતા, તેની આંખ બેબાકળી થઈ ગયલી હતી, અને અગર જો તેને શુદ્ધિ તો આવેલી હતી, તે પણ આ અકસ્માત્ અને વગર ધારેલા બનાવથી તેનું મગજ ગુંચવાઈ ગયલું હતું. રાજા તેની આસનાવાસના કરતો હતો, અને તેના મનનું સમાધાન કરવાને તથા હવે જે થયું તે થયું અને જેવો વખત તેવું ચાલવું એ વાત તેના દીલમાં ઉતારવાને તે ઘણાએક પ્રયત્ન કરતો હતો.

    રાજાની એ સઘળી વાતથી રૂપસુન્દરીના મનનું લેશમાત્ર પણ સમાધાન થયું નહી. તેના હૈયામાં શોકનો ઉભરો ચઢી આવ્યો. તેના મનમાં વિચારના તરંગ ઉપર તરંગ ઉઠવા લાગ્યાઃ– “અરે મારા ધણી, તેં મને લાડ લડાવવામાં કાંઈ બાકી રાખી નથી, તને પ્રધાનવટું મળ્યું નહતું, તું જ્યારે ગરીબ અવસ્થામાં હતો, ત્યારે પણ તેં દુઃખ ભોગવી મને સુખ આપ્યું. પાણી માગેલું ત્યારે દુધ આપેલું, અને કોઈ દહાડે મેં અપરાધ કીધા છતાં પણ તેં મને કડવા બોલ કહ્યો નથી. અરે ! તે સુખ તે હવે વહી ગયું ! હવે હું તારૂં મ્હોં ફરીથી ક્યાં જોઈશ ? તને પાનસોપારી હવે ક્યારે આપીશ ? તું જ્યારે ફીકર ચિંતામાં ઘેર આવશે ત્યારે મ્હોં હસતું રાખી તારી દિલગીરી કોણ કાઢી નાંખશે ? અરે હું દુષ્ટ ચંડાળણી, તારો પાડ તે હું ક્યારે વાળીશ ? તારું કીધેલું કોઈથી થવાનું નથી. મને અત્યાર સુધી કાંઈ છોકરાં ન થયાં તો પણ મારા જીવને કલેશ થાય માટે તે જરાં પણ તે વિષે શોક બતાવ્યો નથી. હાય હાયરે ! તે દહાડા તો ગયા, પણ હું જીવીશ ત્યાં સુધી તેને ભુલવાની નથી, અરે મહાદેવ, ઓ જગતપિતા, મને પાપીને તું ગમે તે કર, પણ મારા પરમપ્રિય સ્વામિને તું સદા આરોગ્ય, સુખી ધનવંત રાખજે. મારા ખરા દીલથી એ પ્રાર્થના છે તે તું સાંભળજે. અરે મારા દીયરજી, તારે સારૂં તો હું મારાં આંસુએ સાગર ભરૂં તો પણ થોડું છે તેં મારી આમન્યા કોઈ દિવસ લોપી નહતી, તેં મને મા સમાન ગણી હતી, અને મેં તને મારી આંખે મારૂં રક્ષણ કરવામાં ભોંય ઉપર લોહીમાં આળોટતો જોયો. તેં તારૂં જોર, જુવાની, તારી આશા, સ્ત્રી, તારો આવરદા મને આવી ભયંકર રીતે અર્પણ કીધાં; તું મારી ખાતર ભરજુવાનીમાં મુઓ, એ સઘળાને બદલો હું તે ક્યારે વાળીશ ? અરે મારી દેરાણી, તારૂં હમણાં કેવું મ્હોડું થયું હશે તે મારી આંખ આગળ આવે છે એટલે મારી છાતી ફાટી જાય છે. હાય ! હાય ! તારી શી ગતિ થશે ! તારી ઉમર કેટલી? હજી તો હમણાં સોળ વર્ષ પુરાં થયાં એટલામાં મુવા દૈવે તને રંડાપો મોકલ્યો, હવે એ દહાડા તે કેંમ જશે ? તું મને લાખો ગાળો દેશે તેથી મારા જીવને નિરાંત વળશે. અરે રામ ! તારા દુઃખનો કાંઈ કાંઠો નથી, તારી હવે કોણ પરવરશી કરશે ? તારા પીહેરમાં પણ સુખી નથી; તારી ભાભી તને ટપલા મારી સુકો રોટલો ખવડાવશે; એ બધું મારે લીધે, તું જીવતી મોઈ, અને તારા ધણીના તથા તારા મોતની હત્યા મારે માથે બેઠી. અરે પરમેશ્વર, તેં મને બળ્યું રૂપ શા સારૂં આપ્યું ? એ મુઆ રૂપથી આ સઘળી ખરાબી થઈ છે એ સઘળાં પાપથી હું ક્યારે છુટીશ? જીવતાં સુધી મારા મનમાં પસ્તાવાનો તાપ બળ્યાં જ કરશે તે કદાપિ રાજા કહે છે તે પ્રમાણે મને ગમે તેટલું સુખ થશે તો પણ નહી હોલવાય એવા અગ્નિથી હું બળી બળીને મરી જઈશ. ઓ ભગવાન ! તે દહાડો જલદી આવે તો સારૂં. વળી પરમેશ્વરે બ્રાહ્મણમાં અને સૌથી ઉંચી નાગરી ન્યાતમાં મને જન્મ આપ્યો તે સઘળું મિથ્યા. મારા એક ભવમાં બે ભવ થયા. કોણ જાણે કયા જન્મનાં પાપ નડ્યાં. ન્યાત, જાત, સગાં, વહાલાં, માબાપ, ભાઈ, ભોજાઈ, બહેન વગેરે સઘળાં કુટુંબના માણસોને મન તો હું આજ મરી ગઈ અરે ! તમે મારૂં આજ સ્નાન કરજો, હું તેઓને કોઈ વખત મળીશ તો ખરી, પણ હવે કાંઈ પહેલાં જેવો વહેવાર રહેવાનો છે? શું હવે એકઠાં મળીને ખવાવાનું છે? આખા નગરમાં સૌ મારે ફીટકાર કરશે. રાજાના મહેલમાં સૌ મને શત્રુભાવે જોશે. બીજી રાણીઓ મારી અદેખાઈ કરશે. અને રાજાનો ભરોસો શો ? રૂપ તો ક્ષણભંગુર, રૂપ ઉપરનો મોહ ખોટો સમજવો. પણ લાચાર, હવે બીજો શો ઉપાય ? જે બન્યું તે બન્યું. દૈવની ગતિ આગળ કોઈ ડાહ્યું છે? મારા નસીબમાં આ દુઃખ લખેલું હશે તે કોટી ઉપાયે પણ મિથ્યા થનાર નથી. વિધાતાએ લલાટમાં જે લેખ લખ્યા હશે તે કદાપિ ફરવાના નથી, માટે હવે તો જે માથે આવી પડે તે મૂગે મ્હોડે સહન કરવું.”

    એ પ્રમાણે રૂપસુન્દરી રાજાના મહેલમાં વિચાર કરે છે, તે વખતે આખા શહેરમાં તેમ જ માધવના ઘરમાં ઘણો જ જુદો દેખાવ થઈ રહ્યો હતો. રૂપસુંદરીનું હરણ તથા કેશવનું મરણ થયું, એ ખબર આખા શહેરમાં ચાલ્યાથી સઘળે હાહાકાર થઈ રહ્યો. ઘેરઘેર, દુકાને દુકાને, ચકલે તથા મોહલે મોહલે એની એ જ વાત ચાલવા માંડી. માધવ ઉપર આવી ભારે આફત આવી પડી તેથી તે બીચારા ઉપર સઘળાં દયા લાવતાં હતાં. માણસો વાત કરતા હતા કે હવે રાજા કેાને પ્રધાન કરશે, અને તે વિષે અનેક અટકળ કરતા હતા. કેશવને તો બીચારાને કોઈએ ગણ્યો જ નહીં પણ રાજાની આ દુષ્ટ રીતથી સઘળાના મનમાં ત્રાસ પેસી ગયો. આજ તેને ઘેર ને કાલે આપણે ઘેર મ્હોકાણ મંડાય એવી સઘળાના મનમાં ફીકર ભરાઈ, વળી રાજધાનીના શહેરમાં બ્રહ્મહત્યા થઈ તેથી રાજ્ય ઉપર ઈશ્વર તરફથી શેા કોપ થશે એ વિષે ફિકર કરવા લાગ્યા. સઘળા ભારે ઉદાસીમાં પડેલા હતા. બાયડીઓ સઘળી રૂપસુંદરીની વાતો કરતી હતી. કેટલીએક કહેતી હતી કે પકડાઈ તે વખતે તેણે પોતાનો પ્રાણ કાઢવો હતો; બ્રાહ્મણ ટળી રજપૂત થવું પડશે તે કરતાં મોત હજારગણું સારું, કેટલીએક કહેતી હતી કે એ બીચારી શું કરે ? જીવ તો હાથે કેમ કઢાય? પરમેશ્વરે એને રૂપ આપ્યું તેમાં એનો શો વાંક ? રજપુત તે રજપુત પણ જીવ કાંઈ કઢાય નહીં, કેટલીએક બોલતી કે રાજા તો રૈયતને માબાપ, અને જ્યારે તે પોતાનાં છોકરાં ઉપર આવી દુષ્ટ નજર કરે, અને જોરજુલમથી બાયડીઓને પકડી લઈ જાય ત્યારે રાજયમાં રહેવાય પણ કેમ ? આજે એને અને કાલે બીજા કોઈને. પરમેશ્વર રાજાના એ બે અપરાધ સાંખવાનો નથી. જોજો થોડા દહાડા પછી એના ઉપર ભારે દુ:ખ આવી પડશે, એની રાણીને કોઈ લઈ જશે, અને રાજાને પાપે આખી રૈયત દુ:ખી થશે. ભગવાને જે ધાર્યું હશે તે થશે. એ પ્રમાણે આખા નગરમાં ચર્ચા ચાલી રહી હતી. માધવનો મહેલ સૂનોસુનો નિસ્તેજ અને ઉદાસ દેખાતો હતો. મોહલ્લામાં કુતરાં કઠોર સાદે રડતાં હતાં. બાઈડીઓ અને ભાયડાઓ ટોળે મળી ઓટલે બેઠેલાં હતા, અને પ્રધાનના ઘરને બારણે નાગર ગૃહસ્થ ડાધુને વેશે કોઇ રડતા હતા, તથા કોઈ ભારે દિલગીરીમાં બેઠા હતા. તેના જુના મિત્ર, તેના સગા કહેવડાવનારા, તેના ઓળખાણમાં આબરૂ માનનારા, તેને બારણે રોજ જોડા ફાડનારા, તેને બાપજી બાપજી કહેનારા, એ સઘળામાંથી કોઈ ત્યાં ન હતું. જેમ પાણી સુકાયા પછી માછલાં નાશી જાય છે, જુવાર કપાયા પછી ચલીયાં બીજે ઠેકાણે ઉડી જાય છે, જેમ ગળપણ ખસેડ્યા પછી તેના ઉપર બમણતી માખી જતી રહે છે, તેમ તે લીલા વનના સુડા, ઉગતા સુરજને પૂજનારા, આવતાના બોલબાલા તથા જતાનું મ્હોં કાળું કહેનારા, આ વખતે કોઈ માધવને ઘેર ફરકયા જ નહી.

    માધવે થોડી મુદત સુધી જ પ્રધાનપણું કીધું હતું પણ તેટલા વખતમાં તેણે સારાં કામો કીધેલાં હતાં તેથી જ લોકો તેના ઘરને વાસ્તે શોક કરતા હતા, તેનાં સગાં તથા કેશવનાં સાસરિયાં સઘળાં ત્યાં આવ્યાં હતા. તેઓએ વિલાપ કરી હવેલી ગજાવી મુકી હતી. વખતે વખતે તેઓ એકઠાં મળીને કુટતાં હતાં, તે વખતે તેઓ એટલા જોરથી છાતી ઉપર હાથ અફાળતાં હતાં કે છાતીનો રંગ લોહીવર્ણ થઈ જતો હતો. કેટલાએકને તો તે જગાએથી લોહીની સેર ચાલતી હતી, અને જો કુટવાનું કામ વધારે જારી રેહેશે તો રોવા આવેલાંમાંથી બીજું કોઈ મરનારની પાછળ જશે એમ લાગતું હતું. ઘર આગળના ચોગાનમાં ચોકીદાર સિપાઈઓનાં મુડદાં કપાઈ ગયલાં પડ્યાં હતાં તેને ઠીક ગોઠવી બાળવા લઈ જવાની તૈયારી કરવામાં સૌસૌની ન્યાતના લોકો કામે વળગ્યા હતા. મરનાર સિપાઈઓની સંખ્યા આશરે પચાસની હતી, તે સઘળાની ન્યાતજાતના લોકોની તથા બાકી રહેલા જીવતા ચાકરોની રડારડથી ત્યાં ભારે ગડબડ થઈ રહી હતી. તેની સાથે બાયડીઓ ત્યાં આસરે હજારેક એકઠી મળી તરેહતરેહવાર અવાજ કાઢી વિલાપ કરતી હતી, તથા જીવથી બચેલા નોકરો “જીવતા શા સારૂ રહ્યા,” અને “ધણીની પાછળ પ્રાણ શા સારૂ અમારો ન ગયો,” એવા શબ્દો કાઢી મોટેથી બૂમ પાડી રોતા હતા. ઘરમાં ગયા કે પરસાળમાં એક ભયાનક દેખાવ નજરે પડતો હતો, એક ખુણામાં કેશવની વહુની મા, બેન, માસી, ઈત્યાદિ બીજાં સગાં બેઠેલાં હતાં, અને બીજે છેડે કેશવનું શબ પડેલું હતું. ગાયના પવિત્ર ગણાતા છાણથી સ્વચ્છ કીધેલી ભોંય ઉપર દર્ભ પાથરીને શબને સુવાડેલું હતું, અને તેના માથા આગળ નીચું માથું ઘાલી તેની ધણિયાણી બેઠેલી હતી.

    એ સ્ત્રી તેની ઉમરના પ્રમાણમાં વધારે લાંબી હતી, તેનો રંગ ઘઉંલો હતો; અને અગરજો તે કાંઈ દેખાવડી ગણાતી ન હતી તો પણ આ પ્રસંગે તેના લોહીમાં જુસ્સો આવવાથી તેના તમામ શરીરનો રંગ રતાશ મારતો હતો, તેના મ્હોડા ઉપર એક પ્રકારનું તેજ પથરાયલું હતું. તેની આંખ એવી તો વિકરાળ તથા હિંગળોક વર્ણ થઈ ગઈ હતી કે તેને જોઈને કોઈ પણ પુરૂષ થથરી જાય, અને તે કોઈ ઈશ્વરી માતા છે એવું તેના મનમાં આવી તેને પગે પડવાની તેની મરજી થઈ આવે. તેનો એવો ઉગ્ર ચેહેરો જોઈને તેની માની પણ તેની પાસે જવાની હિંમત ચાલતી નહતી. તે એકલી પોતાના સ્વામિને એકાગ્ર ચિત્તે જોઇને બેસી રહેલી હતી, અને તેની આસપાસ જે રડાપીટ તથા શોરબકોર થતો તે ઉપર તેનું જરા પણ લક્ષ જતું નહતું, ઘણા લોકના મનમાં હતું કે તેને જલદીથી સત ચઢશે; પણ હજી તેમ થવાનાં ચિન્હ નજરે પડતાં નહતાં, તેની મા ઘેલી જેવી થઈ ગઈ હતી, અને છોકરીને આ રંડાપો આવ્યો તેના અત્યંત દુ:ખની સાથે તેને જોસ ચઢશે તો તે પણ બળી મરશે એવી ધાસ્તી ઉભી થવાથી તેને વધારે સંતાપ થવા લાગ્યો હતો. અત્યાર સુધી તો તેનો એવો અભિપ્રાય હતો કે છેાકરી રંડાય તેના કરતાં મરે તે સારૂં. રંડાય તો મ્હોં આગળ એક ધગધગતી સગડી થઈને પડે; તેને જોયાથી નિરંતર દુઃખનું સ્મરણ રહે; તેના જીવને ઘડી ઘડી ક્લેશ થયાં કરે તેથી તેના માબાપનાં હૈયાનો તાપ હોલવાય જ નહી. એથી ઉલટું તે મરે તો ઘણું દુઃખ લાગે ખરૂં, પણ તે દુઃખનો અંત પણ તે જ વખતે; પછી દેખવુંએ નહી અને દાઝવુંએ નહીં, પણ હવે તેને લાગ્યું કે મરવા કરતાં રંડાઇને જીવતી રહે તે સારૂ. તે એવી અવસ્થામાં જીવે તેમાં ઉપર કહેલાં દુ:ખ તો થાય, પણ છોકરી જીવતી રહી પોતાની આંખ આગળ રહે તેથી જીવને શાતા વળે. વળી તેને સલાહ પુછવા, સાથે જવા આવવા, તથા ઘરનું કામકાજ કરવામાં કામ આવે. બીજું તે ઘરડી અશક્ત થઈ ખાટલે પડે ત્યારે રાંડેલી છોકરી તેની ચાકરી કરવામાં તથા તેની સંભાળ રાખવામાં લાખ રૂપિયાની થઈ પડે. દુ:ખનું ઓસડ દહાડા, રાંડેલાં બઈરાં ધણીનું દુઃખ પણ કેટલેક વર્ષે ભૂલી જાય ત્યારે રાંડેલી તો રાંડેલી પણ જીવતી છોકરીથી તેનાં માબાપના અંતઃકરણમાં તો સંતોષ થાય, એ પ્રમાણે વિચાર ગુણસુંદરી (કેશવની વહુ જેનું નામ તેને યોગ્ય જ હતું, કેમકે અગરજો તેનું રૂપ તેની જેઠાણીના જેવું નહતું તો પણ તેનામાં ગુણ રૂપસુંદરી કરતાં વધારે હતા, અને તેના કેટલાએક ગુણો તે માણસોમાંથી પણ થોડામાં જ શોધ્યા જડે એવા હતા ) ની માએ કીધો, હવે જો છોકરી સતી થાય તો સારું કેટલું ? આખા શહેરમાં બલકે આખા ગુજરાતમાં તેનું નામ કીર્તિવંત થાય, તેની આખી ન્યાતને તેથી શોભા મળે, તેના કુટુંબની પ્રતિષ્ઠા વધે, અને તેના માબાપને સૌ કોઈ ધન્ય ધન્ય કહે, વળી શાસ્ત્ર પ્રમાણે તેનો તથા તેના ધણીનો ઉદ્ધાર થાય અને બધા દેવલોક તેને જોઈને પ્રસન્ન થાય, એ સઘળા વિચારથી ગુણસુંદરીની માના મનમાં ધર્મનો જુસ્સો ભરાયો અને તેની છોકરી જીવે તે કરતાં મરે તો સારું એવું તેના મનમાં નક્કી થયું. તોપણ પોતાની છોકરીનું મન જોવાને તેને પુછ્યું, “બેન, લોકમાં વાત ચાલી રહી છે કે તું તારો દેહ તારા ધણીને અર્પણ કરનાર છે, એ વાત ખરી હોય તો મારી જાત ઉપર, મારી ઉમ્મર ઉપર, મારી અવસ્થા ઉપર વિચાર કરીને જે કામ કરવું હોય તે કરજે. તારા વિના મારાથી જીવાવાનું નથી, તારી પાછળ હું મારો દેહ પાડીશ, પછી તારા બાપની, તારાં નાનાં નાનાં ભાઈ બેનની શી વલે થશે ? શું હું તને મરતાં જોઉં ? શું તું તારી મેળે મરે, અને હું ડોશી તને વળાવી જીવું ? એમ કદી થનાર નથી. માટે તારા દુ:ખના જોશમાં તેં જે કાંઈ ગાંડો વિચાર કીધો હોય તે મનમાંથી કાઢી નાંખ અને પરમેશ્વરે જે આફત મોકલી છે તે સહીને દુઃખેપાપે દહાડા કાઢવા ઉપર નજર રાખ. જો તારો આવરદા ટુંકો જ હશે તો વધારે જીવવું નહી પડે. પણ જાણી જોઈને તે કેમ મરાય ? માટે હવે જીવવું, અને જે થાય તે જોવું, તે સિવાય બીજો કાંઈ ઉપાય નથી.”

    આ વાત સાંભળતાં જ ગુણસુંદરીના મ્હોં ઉપર વધારે લોહી ચઢી આવ્યું, તેની આંખ વધારે લોહીવર્ણ થઈ, તેનું આખું શરીર થરથર ધ્રુજવા લાગ્યું, અને જે મહાભારત દુ:ખ તેના ઉપર આવી પડ્યું હતું તેની અસર તેના અવાજ ઉપર થવાને બદલે તેના શબ્દ વધારે જુસ્સાથી તથા સ્પષ્ટતાથી નીકળવા લાગ્યા, અને તે કોઈ દહાડો વાચાળ ન હતી તેવી આ વખત થઈ. તે બોલી:–“હવે જીવવું ? જેણે મારો હાથ પકડ્યો, જેની સાથે ઘણાં વર્ષ આ સંસારમાં સુખમાં અથવા દુ:ખમાં કાઢવાની આશા બાંધી, જેણે મને મનગમતાં લાડ લડાવ્યાં, જેણે આટલાં વર્ષમાં એક કડવો સુખન કહ્યો નથી, જે બહાર વાઘ જેવા ગણાતા, પણ મારી સાથે જેની વર્તણુક ગરીબ ગાયના જેવી હતી, તે આટલી નાની ઉમ્મરમાં આવે અકાળ મોતે મારાથી રીસાઈ ગયા, અને હું દુષ્ટ પાછળ પડી જાઉં ? ના ના, તે જ્યાં હશે ત્યાં હું જઈશ. તેનું જે થશે તે મારૂં થશે. હવે જીવવું ? જીવીને મારા ધણીની અસદ્ગતિ કરાવવી, અને જે પૂર્વ જન્મમાં પાપથી તેનું આવું મૃત્યુ થયું તે પાપ ધોઈ નાંખવાનું મારા અખતિયારમાં હોવા છતાં આ ક્ષણભંગુર જગતમાં થોડા દહાડા દુ:ખેપાપે કાઢવા સારૂ તેના અક્ષય સુખનો નાશ કરૂં ? હવે જીવવું ? જીવીને ઘરેણાંનો ત્યાગ કરી રુદ્રાક્ષની માળા ધારણ કરવી, અને મારાં વહાલાં લુગડાં બચકે બાંધી ધોળું વસ્ત્ર પહેરી ફરવું? હવે જીવવું ? જીવીને સઘળા વ્યવહારથી દૂર રહેવું, અને સઘળાં શુભ કામમાં મારો ઓળો પડવા ન દેવો ? હવે જીવવું ? જીવીને લોકોમાં રાંડ કહેવડાવવું, અને રસ્તામાં કોઈને મળું તો તે અપશકુન સમજી પોતાના ઘરમાં પાછા ભરાઈ જાય તે સહન કરવું! હવે જીવવું? જીવીને ઘરમાં બોજો થઈ પડવું અને માબાપના દુ:ખનું મૂળ થવું? હવે જીવવું? જીવીને ભાઈ ભોજાઈના ઠોક ખાવા અને પેટને સારૂ હલકામાં હલકી પરતંત્રતાની અવસ્થા ભોગવવી ! હવે જીવવું ? જીવીને શું સુખ ભેાગવવું ? જીવવાથી ફળ શું ? માટે એવી રીતે જીવવા કરતાં મરવું લાખ ગણું સારૂં. માટે મરવું એ જ સિદ્ધાંત એમાં કંઈ સંશય નહી, માટે મારા ધણીની સાથે મારી પણ તૈયારી કરવી.” એટલું બોલતાં બોલતાં તેને બેહદ જોસ ચઢી ગયો, અને તે “જય અંબે” “જય અંબે” બૂમ પાડી ઉઠી. એ બૂમ સાંભળતાં જ સઘળાં બઈરાં સતી માની પાસે આવી તેને પગે પડ્યાં, અને જે કોઈ રોતું હતું તેને ધમકાવવા લાગ્યાં.

    તે વખતે બે પિંડ તૈયાર કરાવી ગોરે એક શબને અને બીજો પાંથક, એ પ્રમાણે એક શબની નીચે દર્ભ ઉપર અને બીજો આંગણે મુકાવ્યો. અને શબને સ્મશાન લઈ જવાની તૈયારી થઈ જોઈને બાયડીઓ ગુણસુંદરીને બીજા ઓરડામાં લઈ ગઈ, ત્યાં તેને સ્નાન કરાવ્યું, પછી તેણે પોતાને હાથે ઘણાં જ કિમતી વસ્ત્ર પહેર્યા, અને ઘલાઈ શકાય એટલાં ઘરેણાં ઘાલ્યાં. બાકી જે પોતાનું રહ્યું તે સઘળું પોતાની બેન, ભોજાઈ વગેરે સગાંને વહેંચી આપ્યું, તે સતી માતાનો પ્રસાદ તેઓએ ઘણા હર્ષની સાથે લીધો, પછી, પોતાને કપાળે પિયળ કાઢી, ચોટલો છુટો તથા ભીનો રાખ્યો. અને એવે વેશે તે પાછી પોતાના ધણીના શબ પાસે આવી. તેનાં દર્શન કરવાને મોહલ્લાનાં તથા શહેરનાં એટલાં લોક એકઠાં થયાં કે ત્યાં દેવમંદિરના જેવી ભીડ થઈ રહી, તે સઘળાં તેને પગે લાગતાં, અને તેઓને તે આશીર્વાદ દેતી, કેટલીએક વાર ચુપ રહ્યા પછી તે બોલી, “સાંભળો લોકો, એક વાર મહાદેવના સસરાએ યજ્ઞ કીધો તેમાં તેણે પોતાના જમાઈને નોતરૂં દીધું નહીં, તેથી તે મહાદેવની સ્ત્રી સતીને ક્રોધ ચઢ્યો, અને તે તેના બાપના ઘરમાં અગ્નિકુંડમાં પડીને બળી મોઈ, તેને બીજે જન્મે તે પાર્વતી થઈ હિમાચળને ઘેર અવતરી, અને મહાદેવને પાછી વરી, એ જ રીતે આજે હું મારા ધણીની ચિતામાં બળી મરી બીજા જન્મમાં અવતરી તેને જ પરણીશ, અને જેટલું સુખ ભોગવવું બાકી રહ્યું છે તેટલું ત્યાં ભોગવી લઈશ.” તે સાંભળી લોકો “જય અંબે” “જય અંબે” બોલ્યા, તે વખતે સતી માએ પોતાના બે હાથ ઘસીને તેમાંથી મુઠ્ઠેમુઠ્ઠા હિંગળોક કાઢ્યો, અને તેવડે સઘળી સૈભાગ્યવંતી સ્ત્રીઓને ચાંલ્લા કીધા. ઘણીએક ઓળખીતી સ્ત્રીઓના માથા ઉપર અથવા વાંસે હાથ ફેરવ્યા, અને બીજાઓને લાંબા હાથ કરી આશીર્વાદ દીધો. કેટલીએક સ્ત્રીઓ પોતાનાં માંદાં છોકરાંને ત્યાં સતી માતાનાં દર્શન કરાવવા લાવી હતી તેના ઉપર સતી માનો હાથ મુકાવવાને તેઓ ઘણી આતુર હતી. તે સઘળાંને રાજી રાખવાને બધાં માંદાં છોકરાંને આશીર્વાદ દીધો, એટલે તેઓ સુસ્ત થઈ પડી રહ્યાં હતાં તે હસવા તથા રડવા લાગ્યાં. લોકો આવેલાં કોઈ જાય નહી, અને નવાં આવ્યાં જ કરે તેથી શબ લઈ જવાને વખત ન મળે માટે બ્રાહ્મણોએ સઘળા લોકોને ઘર બહાર કાઢી મુક્યા, અને શબને બહાર કાઢ્યું, એવે વખતે સાધારણ રીતે જે રડારડ તથા બુમાબુમ પડે છે તે કાંઈ તે વખતે ત્યાં થયું નહી જ્યાં સતી થવાની હોય ત્યાં રડવાનું કામ બંધ પડે છે, સતી હાથ ચોળતાં અને હાથમાંથી હિંગળોક વેરતાં વેરતાં બહાર આવી સુખાસનમાં બેઠાં. આગળ પાછળ લોકોનું ટોળું અને વચમાં શબને ઉંચકનારા બ્રાહ્મણો તથા સતીનું સુખાસન હતું. લોકો પાછળથી “જય અંબે” “જય અંબે” “અંબે માતકી જય” કરતા હતા, અને તેમાં સતી મા પણ સામેલ થતાં હતાં. આગળ રણશિંગડાં, શરણાઈ, તુરાઈ, ઢોલ, નોબત, ઘંટા, ઘડિયાળ, શંખ, થાળી, ઝાંઝ વગેરે વાજીંત્રનો એકત્ર થયલા જેવા પણ બેસુરો તથા ભયાનક નાદ થતો હતો. એવી રીતે તે સઘળાં શહેરના દરવાજા આગળ આવ્યાં, તે વખતે વાંઝિયાં બૈરાં પુત્રવંતાં થવા સારૂં સતી માતાના હાથ માથે મુકાવવા આવ્યાં, તેઓ સઘળાંને તેણે રાજી કરી પાછાં વાળ્યાં, જે સ્ત્રીઓને સાસરે અથવા પિએર દુ:ખ હતું, જેઓનો ધણી તેઓના કહ્યાસર નહીં હતા, જેઓને રંડાપો વહેલો આવશે એમ લાગતું હતું, જેઓને છોકરાં આવતાં પણ જીવતાં નહી, તે સઘળાંને સતી માએ આશીર્વાદ દીધો, પછી પુરૂષોનાં ટોળેટોળાં પોતપોતાનાં ધારેલાં કામ પાર પડે એવા હેતુથી સતીને પગે પડી આશીર્વાદ માગવા લાગ્યાં. તેઓ સઘળાં તૃપ્ત થયાં. ત્યાર પછી જે કોઈએ કોઈ પણ વખત સતીના ઉપર દ્વેષ રાખ્યો હશે, જેએાએ ખુલ્લી રીતે તેને અપશબ્દ કહ્યા હશે, અથવા ગાળો દીધી હશે, તેઓએ પણ તેની પાસેથી ક્ષમા માગી, તે તેમને મળી, આગળ ચાલતાં શબને દરવાજા બહાર વિસામા ઉપર મુક્યું, અને ત્યાં ધારા પ્રમાણે પિંડદાન કરવામાં આવ્યું, તે વખતે લોકોનાં ટોળાંમાંથી એક ચીથરીયા રજપૂતે બહાર નીકળી હાથ જોડી સતીને વિનંતિ કીધી, “માતા પરાપૂર્વથી એવો સંપ્રદાય છે કે જ્યારે કોઈ સતી થાય છે ત્યારે તે શહેરના, અથવા ગામના દરવાજા ઉપર હિંગળોકના હાથા મારે છે, અને શહેર અથવા ગામના રાજા તથા રૈયત એ બંનેને આશીર્વાદ દે છે, તે પ્રમાણે માતાએ પણ આ વખત કરવું જોઈએ.” તે જ ક્ષણે સતીએ પોતાના બે હાથ ચોળી બળતાં અંગારાઓ ખોબે ભર્યો, અને તે શહેર ઉપર ફેંકી બોલ્યાં. “જે રાજાએ વગર વાંકે પરસ્ત્રી, પોતાના મુખ્ય પ્રધાનની વહુ, બ્રાહ્મણી, અને તે પણ વળી નાગર જ્ઞાતિની, એવીનું હરણ કીધું, જે રાજાએ એવું કામ કરી તેના મુખ્ય પ્રધાનને, તેનું ભલું ઈચ્છનારને, તેના રાજ્યનું સુખ વધારનારને તેના દરબારમાંથી હમેશને માટે કાઢી મુક્યો, જે રાજાએ બળાત્કારે પરસ્ત્રી હરણ કરવામાં તેનો કારભારી જે ઉંચો બ્રાહ્મણ હતો તેના ભાઈની હત્યા કરાવી, અને અગર જો તે સ્ત્રીના મનને મરવું દુર્લભ છે અને કૈલાસ લોકમાં જવા જેવું છે, તોપણ તેનાં અકાળ મૃત્યુથી તેનાં માબાપ, ભાઈ, બેન, સગાં વહાલાં, ઈત્યાદિને જે પરમ દુ:ખ થશે તેનું કારણ જે રાજા છે, તે રાજા ગણ્યા દહાડામાં વનવન રઝળશે; તેની સ્ત્રીને પારકા લઈ જશે; તેની છોકરી દુ:ખ પામી પામીને પરપુરૂષના હાથમાં જઈ પડશે; તેનું મોત તે પોતે માગી લેશે; તે ક્યાં તથા ક્યારે મુઓ તે કોઈ જાણશે નહીં; તેનું નામ નિશાની કાંઈ રહેશે નહી; તેના મહેલમાં તેના શત્રુ આવી વસશે; અને રાજાના પાપથી રૈયત દુ:ખી થાય એવો નિયમ છે તે પ્રમાણે આ અણહિલ્લપુર પાટણનો નાશ થશે; તેનું દ્રવ્ય લુંટાઈ જશે, તેના વ્યાપારીઓ જડમૂળથી ઉખડી જશે; અને કેટલાએક કાળ પછી આ ઠેકાણે આવું મોટું શહેર હતું તેનું એક પણ ચિહ્ન રહેશે નહી. રે જગદંબા ! મારો આ શાપ ફળજો. જો મારું આ વચન સિદ્ધ ન થાય, તો મને પાપી, દુષ્ટ, ઢોંગી અને મિથ્યા સતી સમજજો, માટે રે તેત્રીસ કરોડ દેવતાઓ ! મને સહાય થજો, અને મારૂં વાક્ય ફળિભૂત થજો. ” એ વચન સાંભળીને તથા તે બોલતી વખતે સતીમાનું દેવતાઈ તથા ઉગ્ર સ્વરૂપ જોઈને પેલો રજપૂત તો પગથી માથા સુધી થરથર ધ્રુજવા લાગ્યો અને તેના મનમાં એવા તો વિરૂદ્ધ વિકારો ઉત્પન્ન થયા કે તેના જોરથી તેને ચકરી આવી, અને જો પાસેના લોકોએ તેને પકડી લીધો નહી હોત તો તે ભોંય ઉપર પડત. તેને એવી અવસ્થામાં જોઈને તે કોણ છે, અને તેને બીજા કરતાં આટલો વધારે શોકાતુર થવાનું શું કારણ છે તેની તજવીજ કરવાની બીજાઓને ઘણી ઈચ્છા થઈ; પણ તે ગડબડાટમાં તે ઉઠીને એવો તે સટકી ગયો કે ગમે તેટલું શોધ્યા છતાં પણ તે જડ્યો નહી અને તેથી લોકોનું આશ્ચર્ય વધ્યું, અને તે કોઈ પરલોકને પુરૂષ હશે એમ બધા લોકોના મનમાં શંકા ઉત્પન્ન થઈ. લોકોમાં પણ ભારે વાતો ચાલવા લાગી. સતીનો શાપ સાંભળીને સઘળાંઓનાં લોહી ઉડી ગયાં. ધનવંત લોકોએ પોતાનું ધન સંતાડવાનો મનસુબો કીધો; દરબારી લોકો શી રીતની આફત આવી પડશે તે વિષે અટકળ કરવા લાગ્યા. બીજા લોકો મ્હોં લાંબાં કરી રાજાનાં સઘળાં આગલાં કામો સંભારવા લાગ્યા. લુચ્ચા ચોર અને એવા લોકો જેઓને રાજ્યની ઉથલ પાથલમાં હમેશાં લાભ થાય છે તેઓ અંતઃકરણમાં ખુશ થઈને ખરાબીને દહાડો જેમ બને તેમ જલદી આવે એમ પરમેશ્વર પાસે માગવા લાગ્યા; અને જે વખતે હરામીના બે ભાગ થાય તે વખતે ગરીબનો મારો થાય જ, એ નિયમથી બ્હીને ગરીબ નબળા લોકોએ શહેર છેડી પરદેશમાં વસવાને નિશ્ચય કીધો.

    એવા વિચારમાં ને વિચારમાં તેઓ શબની સાથે સ્મશાનમાં આવ્યા, અને ઉંચકનારા બ્રાહ્મણોએ તે શબને ઉતારીને નદીના પાણીમાં ડુબતું મુકી ચિતા તૈયાર કરવા માંડી. માણસના આત્મા વગરના શરીરને વાયુ તથા પૃથ્વીમાં મેળવી દેવાનો જે ઉપાય કરવામાં આવ્યો હતો તે ઉપર સઘળાએાની નજર દોડી, બાવળની સાથે અગર તથા સુકડનાં લાકડાંની એક ચોરસ ચિતા સીંચી હતી, અને તેના ઉપર એક લાકડાંની મઢુલી બનાવી તેની ચારે બાજુએ ઘાસ, કાંટા તથા બીજા જલદીથી મળે એવા પદાર્થથી ઢાંકી નાંખી હતી. મથાળા ઉપર મોટી ભારે ગાંઠો ગોઠવી હતી, અને એક બાજુએથી અંદર પેંસવાનો રસ્તો રાખ્યો હતો. સ્મશાનમાં ગયા પછી સતી સુખાસનમાંથી ઉતર્યા. તે વખતે તેના ચહેરા ઉપર જરા પણ દહેશત જણાતી ન હતી. તેની ચાલ ઉપરથી પણ તે મરવાનું પાસે આવ્યું એમ જાણી જરા પણ આંચકો ખાતી હોય એમ દીસતું ન હતું. તેનું મ્હોં હસતું તો નહીં તો પણ તેના ઉપર શાંતિ તથા જે કામ કરવા ધારેલું તે કરવાનો દૃઢ નિશ્ચય જણાતો હતો, તે ત્યાંથી ચાલીને ચિતા સામે ઉભી રહી, અને શબની સઘળી ક્રિયા થઈ રહ્યા પછી તેણે ચારે દિશાએ નમસ્કાર કીધા, અને સૂર્ય તરફ નજર કરી બોલી –“ સૂર્ય દેવતા ! તું પ્રત્યક્ષ દેવ છે, તારું તેજ સઘળે વ્યાપી રહ્યું છે. તું સઘળા જીવનનું મૂળ છે; અને તું આખું જગત બહારથી જુએ છે એટલું જ નહી, પણ વસ્તુઓની અંદરનાં તત્વ તથા પ્રાણી માત્રના અંતઃકરણના વિચાર જાણે છે, માટે મેં જે પાપ કીધાં હોય તે બાળી નાંખી મને શુદ્ધ કર. અગ્નિદેવતા ! જો મેં ખરેખરૂં પતિવ્રત પાળ્યું હોય, અને મને ખરેખરું સત ચઢ્યું હોય, તો મને અંગીકાર કરજો, નહીં તે મને તમારો સ્પર્શ પણ થવા ન દેતા.” ત્યાર પછી તેણે પરમેશ્વરની સ્તુતિ ઉચું મ્હોં રાખી નીચે પ્રમાણે કીધી –

    શાર્દૂલવિક્રીડિત છંદ.

    દીનાનાથ દયાળ તું જગતમાં, દાતા દુખીયા તણો,

    પ્રાણી માત્ર રહી મહી તળ સહુ, આભાર માને ઘણો;
    ભાનુ ચંદ્ર બિરાજતા ગગનમાં, તારા પ્રકાશે અતિ,
    ગિરિ, સાગર, ઝાડ પાન સઘળાં, માનું હું તારી કૃતિ. ૧

    વાડી ખેતરનાં ફુલો મઘમઘે, રૂપે રળીઆમણાં,
    ભૂમી ઘાસ છવાયલી ખુશનુમાં, શોભા તણી ના મણા;
    કોટી કોટિ લવું જીવે પવનમાં, ન્હાસે રમે સૌ મળી,
    આકાશે બહુ શોભતાં ખગચરે, ઉડે ફરે તે વળી. ર

    ગાડી રાન મધે રહે વનચરો, ખાએ ખુશીમાં વસે,
    લીલા એ સહુ ઈશ્વરી નિરખતાં, બુદ્ધિ જ પાછી ખસે;
    પાપી માનવિ ક્લેશમાં રઝળતો, દીસે ઉદાસી ખરે,
    આશામાં રહી કાળ તે નિરગમે, ભામા વૃથા તે કરે. ૩

    માયા તો અદ્દભૂત છે હરિતણી, થાએ નહીં માપ રે,
    પિડા કારણ શું હશે જગતમાં, શોધ્યા તણું પાપ રે;
    માટે વિનતિ હું કરું કરગરી, પ્રીતે શુણી રાખજે,
    પાપો ઘોર કીધાં જ મેં સરવદા, બાળી સહુ નાંખજે. ૪

    એ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તેને ચિતાની આસપાસ ત્રણ પ્રદક્ષિણા ફેરવી. ફરતી વખતે તેણે તેના અંગ ઉપરથી તમામ ઘરેણાં કાઢી નાંખી બ્રાહ્મણોને વહેંચી આપ્યાં, અને ત્રીજી પ્રદક્ષિણા ફરતી વખતે તેનું ચિત્ત આ દુનિયા ઉપરથી એટલું તો ઉઠી ગયું કે તેની આંખ આંધળી જેવી થઈ ગઈ અને તેણે ઠોકર ખાધી. તે વખતે તેના ગોરે તેનો હાથ પકડ્યો પડવાથી લોકોમાં નામોશી થશે એવા વિચારથી જાગૃત થઈ તેણે હાથ ઝટકી નાંખ્યો, અને લોકોની સામું મ્હોં ફેરવીને ઉભી રહી, તેને જોઈ લોકો સ્તબ્ધ થઈ ઉભા રહ્યા. શરદ મહીનાના બે પહોર દહાડાનો આકરો તડકો પડતો હતો, ભીડથી તથા તાપથી લોકોનાં મ્હોં ઉપર પરસેવાના રેલા ચાલતા હતા, લોકો એવા તો ચુપ હતા કે ત્યાં એક પૈસો પડે તો તેનો પણ અવાજ સંભળાય, પવન એટલો તો બંધ હતો કે ઝાડ ઉપરનું એક પણ પાતરૂં હાલતું નહતું, અને સરસ્વતીનું પાણી તળાવના જેવું નિર્મળ તથા સ્થિર રહેલું હતું. સ્વદેહરક્ષણ એ સૃષ્ટિનો એક નિયમ છે, ધન, માલ, સ્ત્રી, છોકરાં ઈત્યાદિ જગતમાં જે વહાલામાં વહાલું હોય તેને અર્પણ કરી સ્વદેહનું રક્ષણ કરવાની સઘળામાં પ્રેરણા મુકી છે, તે નિયમ, તે પ્રેરણા તોડવાને એક માણસ ધર્મના જુસ્સામાં આવીને, ધર્મશાસ્ત્ર ઉપર ભરોસો રાખીને, અને વગર જોયલી અને વગર અનુભવેલી વાતો ઉપર વિશ્વાસ રાખીને, પોતાનો દેહ પોતાની રાજીખુશીથી, અક્કલ હોશીયારીથી અર્પણ કરવાને તૈયાર થયલું જોઈને જાણે આખું વિશ્વ વિસ્મિત થઈ તમાશો જેવાને સ્થિર ઉભું હોય એમ લાગતું હતું. પણ સતી મા તેના સ્વામીને મળવાને આતુર થઈ રહ્યાં હતાં. તે મઢુલીનું એક પાસું ઉઘાડીને તેમાં પેઠાં, પોતાના ધણીનું માથું ખોળામાં મુક્યું, અને બ્રાહ્મણને ઈશારત કીધી. બ્રાહ્મણોએ તે ઉપર પુષ્કળ ઘી રેડ્યું, અને મશાલવડે ઘાસકાંટાને સળગાવી મુકયા, તાપનું એકદમ મોટું ભડકું થયું. મઢુલીનું મથાળું કડકડ થઈને તુટી પડયું. બાજુ તરફના પ્રજવલિત પદાર્થો વચ્ચોવચ પડ્યા. રણશિંગડાં, તુરાઈ ભુંગળ, ઢોલ, નોબત, શરણાઈ, ઝાંઝ, થાળી વગેરે વાજીંત્રોનો એવો મોટે અવાજ થઈ રહ્યો કે લોકોને પોતાના કાન હાથે બંધ કરવા પડ્યા, અને અવાજના આચકાથી આભ તુટી પડશે એવું લાગ્યું, એ બધાની સાથે લોકો પણ જેમ પડાય તેમ જોરથી “અંબે,” “જે અંબે,” “ અંબે માતની જે,” એવી ચીસ પાડવા લાગ્યા તે વખતે જે ભયાનક તથા રાક્ષસી દેખાવ થઈ રહ્યો તેનું બયાન જ થઈ શકે નહી, ગુણસુંદરીનું સુંદર શરીર લાકડાંની કમઠાળો નીચે છુંદાઈ ગયું, અને એક પણ મરતી વખતની ચીસ પડ્યા સિવાય તેના તથા તેના સ્વામીના આત્માનાં મૃત્તિકા-ગૃહો આસુની મારફતે પંચમહાભૂતમાં મળી ગયાં, અને તે દેહરૂપી ઘરમાં વસતા તેમના આત્મા જે જે બક્ષિશો લઈ આ દુનિયામાં આવ્યા હતા તેનો ઉપયોગ શી રીતે કીશો તેના હિસાબ આપવાને રાજાઓના રાજાની હજુર રજુ થયા.

    લોકો સઘળા ઉદાસ થઈને તથા દુનિયા તરફની વૃત્તિ ઉઠાવી પોતપોતાના ઘર તરફ વળ્યા. માત્ર એક રજપૂત ત્યાં ઉભો રહ્યો, તેની કલ્પનાશક્તિ આ સઘળા બનાવથી એવી તો તીવ્ર થઈ ગઈ હતી કે તેણે સતીની મરતી વખતની ચીસ સાંભળી એમ તેના મનમાં ભ્રાન્તિ પૈઠી, એ કેવા અપશકુન ? હવે શી અવસ્થા થશે ? હવે હું શું કરું ? એવા વિચારમાં ને વિચારમાં તે ડુબી ગયો, અને અસહ્ય દુઃખ થવાથી એક પથ્થર ઉપર બેસી નાના છોકરાની પેઠે તે રડવા લાગ્યો.

    જેના મનમાં પાપ તેને કદી સુખ થતું નથી. દુનિયામાં જે જે બનાવો બને છે તેથી તેને નુકસાન પહોંચશે એવી તેને હમેશાં ધાસ્તી રહે છે. એક કાંકરો પડે તો તે જાણે છે કે એક પહાડ તેના ઉપર પડ્યો. તેને રાત્રે જરા પણ નિદ્રા આવતી નથી, એક ઘડી પણ ચેન પડતું નથી. ખરેખરી અને કલ્પિત દહેશતોથી પીડાયાં કરે છે. કીધેલાં માઠાં કામનો પસ્તાવો નહીં છંટાય એવો અગ્નિ થઈ તેનું આખું શરીર બાળી નાંખે છે. અને તેની પાસે ગમે તેટલું દ્રવ્ય, કુટુંબકબીલો, નોકર ચાકર, તથા દુનિયાનું સઘળું બહારનું સુખ હોય છે તો પણ પાપનો કીડો તેનું કલેજું કોતરી ખાય છે, અને અંતે તો નરકમાં જવાની ખાતરી રાખી પોતાનો પ્રાણ મુકે છે, એવી મહાદુ:ખદાયક અવસ્થા તે રજપૂત જે કરણ હતો તેના મનની હતી.


    આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


    હવે પછીઃ  પ્રકરણ – ૪થું


    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • એક કલાકાર : ગાયકો એકથી વધુ [૧૦] : રાજેન્દ્ર કુમાર

    નિરંજન મહેતા

    રાજેન્દ્રકુમાર જે પોતાની સફળ કારકિર્દીમાં તેમની અનેક ફિલ્મો જ્યુબીલી હિટ રહેવાને કારણે જ્યુબીલી કુમાર તરીકે પણ પ્રખ્યાત છે તેની મોટાભાગની ફિલ્મોમાં રફીસાહેબનો ગાયક તરીકે ઉપયોગ થયો છે. તેમ છતાં કેટલીક ફિલ્મોમાં અન્ય ગાયકોનો અવાજ વપરાયો છે.

    સૌ પ્રથમ ૧૯૬૧ની ફિલ્મ ‘આસ કા પંછી’નાં ગીતો જોઈએ.

    પ્રથમ ગીત છે જે રજાઓની ખુશીમાં મિત્રો સાથે રાજેન્દ્રકુમાર ગાય છે. કોઈને મળવાની ઉત્કંઠા માટેનું આ ગીત છે

    जमीन कागज़ की बन जाये
    समुन्दर रोशनाई का
    बया फिर भी न होगा
    हमसे यह किस्सा जुदाई का

     

    હસરત જયપુરીના શબ્દો, શંકર જયકિસનનું સંગીત અને સ્વર છે રફીસાહેબનો.

    બીજું ગીત ઝડપથી જતી કારમાં મુસાફરી કરતી વખતે વૈજયંતીમાલા તેને વિનવે છે

    धीरे चला ज़रा हाये धीरे चला ज़रा
    मुकद्दर की गाडी पे हम दो अनाडी थे

    ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને શંકર જયકિસનનું સંગીત. સ્વર છે સુબીર સેન અને લતાજીના.

    ત્રીજું ગીત નશામાં ધૂત રાજેન્દ્રકુમાર ગાય છે જે પોતાની જિંદગીને કોસે છે.

    राह के तालिब है पर
    बेराह पड़ते है क़दम
    देखिए क्या ढूंढते है
    और क्या पाते है हम
    अपनी भी क्या ज़िंदगी है निराली

    ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને શંકર જયકિસનનું સંગીત. સ્વર છે મુકેશનો.

    ૧૯૬૧ની અન્ય ફિલ્મ ‘પ્યાર કા સાગર’ના આ ગીતમાં રાજેન્દ્ર કુમાર છોડીને જતી મીનાકુમારીને ઉદ્દેશીને ગાય છે

    मुझे प्यार की जिंदगी देने वाले
    कभी गम ना देना खुशी देने वाले
    मोहब्बत के वादे भुला तो ना दोगे
    कहीं मुझसे दामन छुड़ा तो ना लोगे

    સ્વર છે રફીસાહેબ અને આશા ભોસલેના.

    બીજું ગીત એક વિરહ ગીત છે.

    हो गये दो रोज़ में आबाद भी बर्बाद भी
    अब तमन्ना है वही आये ना उनकी याद भी
    वफ़ा जिनसे की बेवफा हो गया

    સ્વર છે મુકેશનો

    બંને ગીતના ગીતકાર પ્રેમ ધવન. સંગીતકાર રવિ.

    ૧૯૬૧ની વધુ એક ફિલ્મ ‘સસુરાલ’નું આ બહુજ પ્રખ્યાત ગીત છે જે બી. સરોજાદેવીને ઉદ્દેશીને ગવાયું છે

    तेरी प्यारी प्यारी सूरत को
    किसीकी नज़र ना लागे
    चश्म-ए-बद्दूर
    मुखड़े को छुपालो आंचल में,
    कहीं मेरी नज़र ना लगे
    चश्म-ए-बद्दूर

    ગીતના ગીતકાર હસરત જયપુરી અને સંગીતકાર શંકર જયકિસન, સ્વર છે રફીસાહેબનો.

    બીજું ગીત એક દર્દભર્યું ગીત છે

    सता ले ऐ जहाँ, न खोलेंगे ज़ुबाँ
    सितम तेरे कभी तो बेअसर हो जाएँगे
    पुकारो लाख तुम, न फिर लौटेंगे हम
    कि हम भी राह की इस धूल में खो जाएँगे

    સ્વર છે મુકેશનો. ગીતના ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન.

    ૧૯૬૪ની ફિલ્મ ‘સંગમ’નું આ ગીત યુવા વર્ગમાં પ્રિય ગીત છે.

    ये मेरा प्रेमपत्र पढ़ कर के
    कि तुम नाराज ना होना
    कि तुम मेरी ज़िंदगी हो

    આ ગીત વૈજયંતીમાલાને ઉદ્દેશીને ગવાયું છે. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે રફીસાહેબનો.

    બીજું ગીત પ્રણય ત્રિકોણ રૂપે ગવાયું છે

    हर दिल जो प्यार करेगा वो गाना गायेगा
    दीवाना सैंकड़ों में पहचाना जायेगा

    કલાકારો છે રાજેન્દ્રકુમાર, રાજકપૂર અને વૈજયંતીમાલા. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે મહેન્દ્ર કપૂર, મુકેશ અને લતાજીના.

    ૧૯૬૭ની ફિલ્મ ‘પાલકી’નું આ ગીત વિરહ ગીતના રૂપમાં છે

    मेरे घर से प्यार की पालकी चली गयी
    घर मेरा उजड़ गया, ज़िंदगी चली गयी
    मेरे घर से प्यार की पालकी चली गयी
    आशिया मेरा जला और मैं देखता रहा

    સ્વર છે મન્નાડેનો.

    બીજા ગીતમાં એક પ્રેમી પોતાના મનોભાવને વ્યક્ત કરે છે.

    कल रात ज़िंदगी से मुलाक़ात हो गई
    लब थरथरा रहे थे मगर बात हो गई।

    સ્વર છે રફીસાહેબનો.

    બંને ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના ને સંગીત આપ્યું છે નૌશાદે.

    ૧૯૬૯ની ફિલ્મ ‘અનજાના’નું આ ગીત એક સવાલ જવાબ રૂપે છે જે રાજેન્દ્ર કુમાર અને બબીતા વચ્ચે રચાયું છે.

    वो कौन है वो कौन है
    जो रूठ जाती है
    चीज़ वो नाज़ुक बड़ी है
    टूट जाती है बोलो बोलो

    ગાયકો છે મુકેશ અને લતાજી.

    બીજું ગીત વરસાદની મજા લેતા ગવાયું છે. કલાકારો આ જ બંને

    रिम झिम के गीत सावन गाए गाए
    भीगी भीगी रातों में
    होठों पे बात दिलकी आए आए
    भीगी भीगी रातों में

    ગાયકો રફીસાહેબ અને લતાજી.

    બંને ગીતના ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

    ૧૯૭૦ની ફિલ્મ ‘ગીત’ એક સંગીત સભર ફિલ્મ છે

    પોતાના મનની વાત રજુ કરતાં રાજેન્દ્ર કુમાર માલા સિંહાને ઉદ્દેશીને ગાય છે

    जिसके सपने हमें
    रोज़ आते है दिल लुभाते रहे
    ये बतादो बतादो
    ये बतादो तुम कहीं
    वो ही तो नहीं वही तो नहीं

    ગીતકાર હસરત જયપુરી અને સંગીતકાર કલ્યાણજી આણંદજી. સ્વર આપ્યો છે મહેન્દ્ર કપૂર અને તાજીએ.

    બીજું ગીત પ્રેમિકાને યાદ કરતાં ગવાયું છે.

    आजा तुझको पुकारे मेरे गीत रे मेरे गीत रे
    ओ मेरे मितवा मेरे मीत रे आजा

    ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર કલ્યાણજી આણંદજી. સ્વર છે રફીસાહેબનો.

    ૧૯૭૦ની અન્ય ફિલ્મ ‘ગંવાર’નું આ ગીત એક પ્રેરણાદાયક ગીત છે.

    ऐ किसानो ये धरती तुम्हारी है माँ
    जिंदगी में कोई माँ से प्यारा नहीं

    ગાયક છે મહેન્દ્ર કપૂર.

    બીજું ગીત એક પ્રેમીના ભાવોને વ્યક્ત કરે છે.

    महका महका रूप
    तुम्हारा बहकी बहकी चल
    ऐ फूलों की डाल
    ये राही पूछे एक सवाल
    तुम्हारा नाम क्या है

    ગાયક છે રફીસાહેબ.

    બંને ગીતના શબ્દો છે રાજેન્દ્ર કૃષ્ણના અને સંગીત છે નૌશાદનું.

    ૧૯૭૧ની ફિલ્મ ‘આપ આયે બહાર આઈ’ નું ગીત બે પ્રેમીની નોકઝોક રૂપ છે.

    तुम को भी तो ऐसा ही कुछ होता होगा ओ सजना

    कैसा? कैसा?
    तेरी याद सताती है
    नींद नहीं आती है रातों में

    રાજેન્દ્ર કુમાર અને સાધના વચ્ચેની આ નોકઝોકનાં રચયિતા છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે કિશોરકુમાર અને લતાજીના

    બીજું ગીત પણ આ બે કલાકારો પર ફિલ્માવાયું છે.

    सारे ज़माने पे मौसम सुहाने पे
    इस दिल दीवाने पे वीरानी सी थी छाई
    आप आए बहार आई

    ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ. ગાયકો છે રફીસાહેબ અને લતાજી.

    ૧૯૭૨ની ફિલ્મ ‘ગોરા ઔર કાલા’માં રાજેન્દ્ર કુમાર ડબલ રોલમાં છે.

    પહેલું ગીત છે હેમા માલિની સાથેનું પ્રેમગીત.

    इक ना इक दिन यह कहानी बनेगी
    तू मेरे सपनो की रानी बनेगी

    ગાયક છે રફીસાહેબ.

    બીજું ગીત પણ આ બે કલાકારો પર છે

    धीरे धीरे बोल कोई सुन ना ले
    सुन ना ले कोई सुन ना ले
    सेज से कलियाँ चुन ना ले
    चुन ना ले कोई चुन ना ले

    સ્વર છે મુકેશ અને લતાજીના

    બન્ને ગીતના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

    ૧૯૭૨ની અન્ય ફિલ્મ ‘ટાંગેવાલા’નું આ ગીત એક સંદેશાત્મક ગીત છે

    जिन के कारण गलियों गलियों भटके थक कर चूर हुए
    बीच डगर में छोड़ के देखो वो भी हम से दूर हुए
    कर भला, होगा भला अंत भले का भला

    ગાયક છે મુકેશ.

    બીજું ગીત નશામાં ધૂત રાજેન્દ્રકુમાર પર રચાયું છે.

    दुनिया शराबी दुनिया शराबी
    कौन नहीं पीता सब पीते है

    ગાયક છે રફીસાહેબ

    બંને ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે નૌશાદ.

    ૧૯૭૨ની વધુ એક ફિલ્મ ‘લલકાર’નું પહેલું ગીત એક ફરિયાદ રૂપે છે

    मेरे महबूब मेरी बात तुम्हें क्या मालूम
    मेरी धड़कन, मेरे जज्बात तुम्हें क्या मालूम

    ગાયકો છે મનહર ઉધાસ અને માલા સિંહા.

    બીજું ગીત બે પ્રેમીઓની વચ્ચે પ્રેમના પરિમાણ માટે ગવાયું છે.

    बोल मेरे साथिया
    कितना मुझसे प्यार है
    बोल मेरे साथिया
    कितना कितना मुझसे प्यार है

    સ્વર છે રફીસાહેબ અને લતાજીના.

    બંને ગીતના રચયિતા છે હસરત જયપુરી અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.

    આશા છે આ લેખમાં જે ગીતો સમાવાય છે કદાચ તે ઉપરાંત પણ કોઈ આવા ગીત જણાય તો ધ્યાન ખેંચવા વિનંતી.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • પેરડીની પ્રસાદી – – ભોજન કે નજારે હૈ….આહા…આહા…

    બીરેન કોઠારી

    ‘પેરડી’ એટલે પ્રતિરચના. એ જ સૂચવે છે કે પહેલાં મૂળ રચનાનું હોવું આવશ્યક છે. કોઈ મૂળ કૃતિ પરથી, તેના માળખાને પકડીને સાવ જુદો જ અર્થ ધરાવતી રચના તૈયાર કરવામાં આવે ત્યારે તે પ્રતિરચના કહેવાય છે. જરૂરી નથી કે પેરડી કેવળ પદ્યની જ હોય. ગદ્યની પણ હોઈ શકે. આખેઆખી પદ્યરચનાને બદલે એકલદોકલ પંક્તિની પણ હોઈ શકે. તેનો હેતુ વ્યંગ્ય નિપજાવવાનો હોય, અને એ વ્યંગ્ય ક્યારેક પોતાની કોઈક વાત રજૂ કરવા માટે હોઈ શકે, યા હાસ્ય નીપજાવવા પણ હોઈ શકે.

    ગુજરાતીની અનેક રચનાઓની પેરડી થઈ છે, થતી રહી છે. હિન્‍દી ફિલ્મોનાં ગીતો લોકપ્રિય બનીને ખૂણેખૂણે ગુંજવા લાગ્યાં એ પછી એવાં જાણીતાં ગીતોની પણ પેરડી થવા લાગી. એટલે કે પેરડીની ધૂન મૂળ ગીતની જ હોય, અને અમુક શબ્દો પણ મૂળ ગીત સાથે સામ્ય ધરાવતા હોય, પણ સમગ્રપણે એ સાવ જુદો જ, ઘણાખરા કિસ્સામાં હાસ્યપ્રેરક અર્થ પ્રદર્શિત કરતા હોય. કોઈ એક ગીતની પેરડી જોવા મળે છે, પણ એની સામે એવા અનેક દાખલા છે કે જેમાં કોઈ એક નહીં, પણ અનેક ગીતોની medley (વિવિધ ગીતોના સળંગ ટુકડા) પેરડી તરીકે ફિલ્મમાં વપરાઈ હોય. રસિયાઓને ‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મની આવી પેરડી યાદ હશે.

    મને વધુ રસ એ બાબતમાં પડ્યો કે ‘મેડલી’માં પ્રયોજાયેલાં ગીતોમાં કશું સામાન્ય છે કે કેમ? પ્રથમદર્શી રીતે ખ્યાલ આવ્યો કે મોટે ભાગે ‘મેડલી’માં વપરાયેલાં ગીતો જે તે ફિલ્મના સંગીતકારનાં પોતાનાં જ હોય છે. પણ આ એક સામાન્ય નિરીક્ષણ છે. બધામાં આવું હશે કે કેમ? બસ, આ એક સવાલે આ શ્રેણીની આ પ્રથમ કડી આરંભાઈ. દર વખતે આવી એક એક મેડલી વિશે વાત કરવા ઈરાદો છે.

    ખાંખાંખોળા કરતાં છેક ૧૯૪૩માં રજૂઆત પામેલી ‘વાડિયા મુવીટોન’ની, જે.બી.એચ.વાડિયા દ્વારા દિગ્દર્શીત ફિલ્મ ‘વિશ્વાસ’માં એક પેરડી જોવા મળે છે. સુરેન્દ્રનાથ, મહેતાબ, સુલોચના ચેટર્જી, ત્રિલોક કપૂર જેવા કલાકારો ધરાવતી આ ફિલ્મનાં આઠ ગીતો કુલ ચાર ગીતકારો- પં.ઈન્દ્ર, ડૉ. સફદર ‘આહ’, મુન્શી શામ જિલાની અને મુન્શી આઝમ- દ્વારા લખાયેલાં છે. સંગીતકાર તરીકે પણ ફિરોઝ નિજામી, બી.એ. અને માસ્ટર છૈલા લાલનાં નામ છે.

    પેરડી ગીત મુન્શી શામ જિલાની દ્વારા લખાયું છે, જેને બેબી માધુરીએ ગાયું છે.

    શરૂઆત ‘ખજાનચી’ (૧૯૪૧)ના સુપરહીટ ગીત ‘સાવન કે નઝારે હૈ‘ ગીતની પેરડી ‘ભોજન કે નઝારે હૈ’થી થાય છે. તેનું માત્ર મુખડું જ છે. એ પછી તરત આ જ ફિલ્મના ગીત ‘લૌટ ગઈ પાપન અંધિયારી‘ની પેરડી ‘લૌટ ગઈ અબ ભૂખ હમારી’ છે. ‘ખજાનચી’ના સંગીતકાર ગુલામ હૈદર હતા. આના પછી તરત ‘સિકંદર’ (૧૯૪૧)ના લોકપ્રિય ગીત ‘જિંદગી હૈ પ્યાર સે, પ્યાર સે બનાયે જા‘ની પેરડી ‘જિંદગી હૈ પેટ સે, ૧૯૪૩ ‘પેટ નિભાયે જા’ આવે છે. ‘સિકંદર’ના સંગીતકાર મીરસાહબ અને રફીક ગઝનવી હતા. પેરડીમાં મુખડા ઊપરાંત એક અંતરો પણ છે. એ પછી ‘ખાનદાન’ (૧૯૪૨)ના નૂરજહાંએ ગાયેલા ચિરંજીવ ગીત ‘મેરે લિયે જહાન મેં‘ની પેરડી ‘ખાને કો ચાહતા હૈ’ છે. આના પછી ‘ખાનદાન’ના નૂરજહાંએ ગાયેલા ખ્યાતનામ ગીત ‘તૂ કૌન સી બદલી મેં મેરે ચાંદ હૈ આજા’ની પેરડી ‘તૂ કૌન સી સાડી મેં મેરી દૈયા હૈ આજા‘ છે. આમાં કેવળ ગીતનું મુખડું જ છે. ‘ખાનદાન’માં પણ ગુલામ હૈદરનું સંગીત હતું. સૌથી છેલ્લે ‘ભોજન કે નઝારે હૈ’ આવર્તિત થાય છે.

    આમ, આ મેડલીમાં કુલ છ ગીતોની પેરડી સાંભળવા મળે છે, જેમાં એક ગીત ફરી વાર છે. આ તમામ ‘વિશ્વાસ’ ફિલ્મની રજૂઆતનાં આગલા એકાદ બે વરસમાં આવેલી ફિલ્મોનાં લોકપ્રિય ગીતોની પેરડી છે. એટલે કે સંગીતકાર ફિરોઝ નિજામીએ લોકપ્રિયતાના માપદંડને આધાર બનાવીને આ મેડલી તૈયાર કરી છે. મેડલીમાં ભોજનનો વિષય કેન્દ્રસ્થાને છે અને બાળકો રહેતાં હોય એવા આશ્રમનું વાતાવરણ હોય એમ લાગે છે. આ બાળકો પર ફિલ્મની, તેનાં ગીતોની પ્રબળ અસર બતાવાઈ છે. મૂળ ગીતોથી સાવ જ નોખા, એક જ વિષય પર રચાયેલી આ પેરડી આપોઆપ જ હાસ્ય નિષ્પન્ન કરે છે.

    આ લીન્ક પર ‘વિશ્વાસ'(૧૯૪૩)નું આ ગીત જોઈ અને સાંભળી શકાશે.

    https://www.youtube.com/watch?v=R4aEsxHlHYE


     

    (લીન્‍ક: યૂ ટ્યૂબના સૌજન્‍યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)