-
બંધાણ
લતા હિરાણી
બાપાની ખાસ એટલી ઉંમર નહોતી. ઘરડા બા બેઠા’તા ત્યારે છપ્પનિયાને યાદ કરી દીકરાની ઉંમર ગણતા. બહુ બહુ તો ચોપન પંચાવન – પણ લાગે પાંસઠના ! બધો ય ખેલ બીડીનો ! આખો ‘દિ ઠોં ઠોં ઠોં ઠોં કર્યા કરે. દમના માર્યા ખાંસી ખાઈખાઈને બાપાના ફેફસાંનો દાટ વળી ગયો હતો. ક્યારેક શ્વાસ એવો ચડતો કે જાણે જીવ નીકળી જશે.
ગળામાં ગાડું ભરીને કફ ખખડે. હાક, થૂ કરતાં પડખેના ખૂણામાં જ બળખો કાઢે. એમ તો મંજુએ ધૂળ ભરેલું તબકડું મૂક્યું’તું પણ કયારેક અંદર ને ક્યારેક બહાર પછી માખો બણબણે ને મંજુને કાળ ચડે. એમાં વળી બાકી રહી ગયું હોય એમ પડોશની ગંગા શિખામણ આપે !
– અલી બાઈ, ભગવાને બે છોડિયું ઉપર આ નાનકો દીધો છ. ઇ બાપાના ખાટલા ઉપર જ ખૂંદાખૂંદ કરતો હોય છે. ભગવાન નો કરે ને ઇ માંદો પડ્યો તો ? એને હાચવ્ય….’
– બાપાની ઓરડી કટલીક વાર સાફ થાય !! એકકોર આ તણેય પરજાને હંભાળવી.. હંધાયના ભાણાં તો ભરવાના ને ! ઇમના તો રોજ રાત પડે હાથ-પગ તૂટતા જ હોય.. મારો તો ચાકરી કરવામાં જ જન્મારો જાશે.. કોઈ ‘દિ હુખ નો ભાળ્યું..
એણે રાડ પાડી. – પવલીઇઇઇઇઇ
પવલી દોડતી દોડતી આવી.
– જા, ડોહાની ઓયડીમાં ડોલ ભરીને પાણી રેડ ને હાવરણો ફેરવી દે..
બબ્બે દિવસે બીડીની ઝૂડી મંગાવવી પડતી. હજી કાલે જ એક મંગાવી હતી. એક દિ’માં બધી ફૂંકી મારી. ‘પવલી, ઓલા શંકરિયાને કે ને કે બીડી લ્યાવે… નાનકો જાયગો કે ?’ ઓરડીમાંથી બાપા બોલ્યા.
મંજુ ફળિયામાં વાસણ ઉટકતી હતી. એણે તપેલી ચોકડીમાં પછાડી. વચલી રમા ડેલીમાં આવી.
– ક્યાં મૂઇ’તી અટાણ લગ ? ખોયામાંથી નાનકાને ઉપાડ ને શેરીમાં રમાડ્ય. ખાવાનું થાશે એટલે બરકીશ. એ પે’લા આવી છ તો ટાંટિયો ભાંગી નાખીસ.
– મા, બાપા બીડીનું કે’છ. – પવલી બીતાં બીતાં બોલી.
– ઇ તારા બાપુ કરસે. તું ડાઇની થા મા. તારું કામ કીધું ઇ કર.
રમલી નાનકાને કાંખમાં નાખી ડેલી બા’ર નીકળી ગઇ. મંજુએ આજ નાનકાને ઓરડીમાં ન જવા દીધો તે ન જ જવા દીધો. એ બાપા પાસે જવા રોતો ‘તો.
– ભલે, આજ તો રોઇ રોઇને અડધો થઇ જાય. એનેય હાળાને બાપાનું બંધાણ થઇ ગ્યું છ. આંય પવલીની ફીનો જોગ થાતો નથ ને ડોહાને ધુમાડા કાઢવા કાઢવાના !
બાપાની ચાકરી આકરી ને આકરી થતી જતી હતી. એ પોતાનું સંભાળી લેતા ત્યાં સુધી ઠીક હતું. હવે શરુ થયો આ કંપ-વા. હાથ-પગ ધ્રુજ્યા રાખે. ક્યારેક ચાની રકાબી મોઢે માંડવા જાય ને રેગાડો જાય લેંઘા ઉપર. દાઝે એટલે દેકારો કરી મુકે ને પછી લવરી શરુ. શાંતિ જરાય નહીં. મંજુથી આટલું જ થાય. જેને કામ સોંપ્યું હોય એને કચકચાવીને ઢીબી નાખે. પછી ક્યારેક રોવેય ખરી.. ‘આ બાપા તે મારા કિયા જનમના વેરી છે !
ક્યારેક બાપાના હાથમાં ધ્રુજારી એટલી વધી જાય ને ઘરમાં કોઈ હાજર ન હોય તો મંજુએ લાજનો ઘુમટો તાણીને બાપાને ચા પાવી પડે. શરુમાં મૂંઝારો થાતો. શરમેય લાગતી પણ પછી સમજાઈ ગયું કે બાપાના લૂગડાં ને ગોદડાં ધોવા બેસવું એના કરતાં લાજ કાઢીને ચા પાઈ દેવી સારી. મુસીબત ત્યારે થાતી, જ્યારે એ એકલી હોય ને બાપાને જાજરુ પેશાબ લાગે. શું કરે ? બધાંય કામ પડતાં મૂકી એણે કો’કને ગોતવા જાવું પડતું.
કાલની જ વાત. મંજુએ છાશની સાથે ગરમાગરમ રોટલો ને શાક થાળીમાં પીરસી પવુને મોકલી,
– જોજે, હંભાળજે. બાપા ખાઇ લે તાં લગણ રે’જે. પાછી રમતે નો ચડી જાતી.
પણ પવલીના લખણ પૂરાં ! ખાટલામાં થાળી મૂકી, “બાપા, કાંઇ જોતું કરતું હોય તો કેજો હોં..” કરતી પાંચીકા લઇને ઓસરીમાં ખોડાણી.. .. બાપાએ કોળિયો મોઢામાં મૂક્યો ને હાથમાંથી છાશની તાંસળી છટકી…. રાડેરાડ શરુ. પવલી ઉપર કકળાટ કરતી મંજુએ લાજ કાઢીને બાપાને લુગડાં દીધાં ને બારણું આડું કરીને ઓરડીની બહાર આવતી રહી. બહુ વાર થઈ. અંદરથી કંઇ અવાજ ન આવ્યો.
– પવલી માલીપા જો તો ખરી !!
– હાય હાય, બાપા તો એક કોર કોકડું વળી જ્યા સે
મંજુ હાંફળી ફાંફળી અંદર દોડી. બાપા હાંફતા’તા. જેમતેમ પગ ઉપર લેંઘો ચડાવ્યો’તો ને દીવાલને ટેકે કોથળાની જેમ ઢગલો થઈ ગયા હતા. નાડું બાંધવાની હામેય નહોતી રહી. ખાટલામાં જોયું તો ગોદડું બખબખે ! પેશાબ છુટી ગયો ’તો ! આ તો સારું થયું કે એ ટાણે જ શેરીમાં ગંગાનો કરસન જાતો દેખાણો. એને બોલાવીને ગોદડું બદલીને બાપાને ખાટલા ભેગા કર્યા. નહીંતર એ કેમનું કરત ! બધી અધ્યારી એની એકલીની જ… ઘરની કે બાપાની વાત આવે એટલે મનોર હાથ ઉંચા કરી દે.
સાંજે મનોર આવ્યો. પવલી કહેવા જાતી તી, ત્યાં મંજુએ એને ચીટલો ભરીને એક કોર કરી. આમેય પવલી આજનું જોઇને ડઘાઈ તો ગઇ’તી જ.
– બાપાને તમે ખવરાવી દ્યો. પવલીનો અંગુઠો પાક્યો છ.
– આ ઘડીક ઘરમાં આવીએ પણ શાંતિ નંઇ.. લોહીઉકાળા ચાલુ ને ચાલુ.. લાવ.
મનોર થાળી લઈ ઓરડીમાં ગયો. બાપાને બેઠા કર્યા. આગળ થાળી મૂકી.
– ખાઇ લેજો બાપા – ને બહાર આવતો રહ્યો.
– જરીક જોવો તો ખરા, બાપાને !
– નથ જરૂર. એને કાંઇ નૈ થૈ જાય. ખાટલો છે તો છે. જા પવલી, અંદર ધ્યાન રાખ.
– તમારા વન્યા જાણે હંધુય રખડતું હસે.
પવલી સમજી ગઇ’તી. આજ માનો મિજાજ જુદો હતો. એણે મૂંગા રે’વાનું હતું.
મંજુએ મુંગા મુંગા વાળુ પીરસ્યું.
– આજ પાછું બટેટાનું જ શાક ! ભેગાભેગા જરીક મરચાં નો વઘારાય !
મંજુએ બીજો રોટલો ઘડતાં હાથમાંથી પાણી જોરથી છંટકોર્યું. મનોર લૂસલૂસ ખાઈને ઝટ ઊભો થઈ ગયો. ઓસરીમાં જઈ ખિસ્સામાંથી બીડી કાઢી. સળગાવી.
– કેટલી વાર કીધું કે તમે તો આ બંધાણ છોડો ! બાપાને જોતા નથ !
– ને મેંય તને એટલી જ વાર કીધું કે શાંતિ રાખ. છોડવાનું જ છે પણ કંઇ રાતોરાત નો થાય. તનેય રાડ્યું નાખવાનું બંધાણ થઇ ગ્યું છ.
ટાંટિયા પછાડતો મનોર ડેલીની બહાર નીકળી ગયો. રાતે મોડો આવ્યો ને સીધો ખાટલામાં. ઘરના ને ડોસાના ઢસરડા કરીને મંજુની કાયા કંતાઈ ગઈ હતી. એનું ડીલ કળતું હતું. હજી તો વાત કરવા જાય ત્યાં મનોરના નસકોરા બોલવા માંડ્યા. એ ધુંધવાઈ. મનોરને હડબડાવીને ઉઠાડ્યો.
– હાંભળો છ, આ બાપાને કેમ કરીને હાચવવા ?
– જંપવા દે. એક તો આજે પગેય દાબ્યા નથ.
– હવે મારાથી નૈં થાય. આ કૈ દીધું.
– કેમ વળી ? ચાકરી કરતાં જોર પડે છે કંઇ ?
– લાજ કાઢીને એકવાર કરી દેખાડો એટલે ખબર પડે !
– જોયા જોયા હવે ! કંઇ પાડ કરે’છ ?
– કંઇક હમજો તો હારું. ચાકરી કરવાની કુણ ના પાડે’સ ? આજ બાપાને ખાટલામાં પેશાબ થઇ ગ્યો’તો. તમે તો દિ’ આખો દુકાને હો. આમાં મારે કોને બોલાવવું ? આ તો ટાણે કરસન દેખાઇ ગ્યો તે માંડ પાર પાડ્યું. પણ આમ કટલીક વાર ?
– તે દુકાન બંધ કરીને ઘરે થોડું બેહું ? આ બીડીએ જ બાપાને અધમુઆ કરી મેલ્યા છે. જિંદગી આખી તો પીધી. હજી હવાદ નથ જાતો. મને કૂણ કે’નાર છે, તોય એક હવારે, એક બપોરે ને એક હાંજે, બસ એનાથી વધારે નૈ એટલે નૈ…
મનોર પોતે બીડી પીતો તોય બાપા પર બખાળા કાઢતો. એ પડખું ફરી ગયો. એની આંખ સામે બાળપણની પટ્ટી ફરી. બાપા પોલીસ હતા ને રુઆબ કેવો ! ઘરમાં યે હાકોટા પડે. કોઈની તાકાત નહીં કે બાપાને સામો જવાબ અપાય ! મનોર વાંકમાં આવ્યો હોય તો એ ઉભો ઉભો ધ્રુજે ને ચડ્ડી પલળી જાય એ જુદું.
– ના કાલથી તો મારે ય રોજની ત્રણને બદલે બે કરી દેવી છ. – મનોર મનમાં બબડ્યો. મંજુ લાકડાની જેમ આડી પડી.
સવારમાં ઊઠતાંવેંત મનોરે બાપાની બીડીની ઝૂડી કબાટમાં મુકી તાળું મારી દીધું. ફરમાન કાઢ્યું કે હવે કોઈએ એમને બીડી નથી દેવાની. પત્યું. બે દિવસમાં બાપાની હાલત જોવા જેવી થઈ. મંજુએ કહ્યું,
– આમ રાતોરાત હાવ બંધ કરી દીધી છ તે બાપાની હાલત મરવા જેવી થૈ ગૈ છ !
– મૂંગી મર્ય. એક કોર રાવ કરે છ ને પાછી હગલી થાવા જા છ. થૈ થૈ ને હું થાવાનું ! ભલે ખાટલામાં પડ્યા રે’તા. મારે તે કામધંધો કરવો કે…. !”
– હારું. તમે જાણો ન તમારા બાપા જાણે.. મારે તો બેય કોર વીતે છ…
આખો દિ’ બાપા ‘બીડી દે, બીડી દે’ બબડતા રહ્યા. ખાસ કંઈ ખાધું પણ નહીં . બીડી વગર એમની નાડ્યું તુટતી’તી. પછીના દિ’ બાપા લાશ જેવા થઈ ગયા. એમના અણસાર ફરી ગયા. બોલવાની તાકાત પણ ખતમ. ઉંહકારા કરે ને એમાં બીડી બીડી જેવું ત્રુટક ત્રુટક સંભળાય. મંજુએ કેટલી વાર પવુને થાળી લઇને મોકલી પણ બાપા આંખ નહોતા ખોલતા. એકવાર મંજુ લાજ કાઢીને થાળી લઇને ગઈ પણ બાપાને ક્યાં હોશ હતા !
ઘરમાં ચારેકોર રમણભમણ પડ્યું’તું. એક કોર એઠાં વાસણ ને બીજી કોર મેલાં લૂગડાં ઉડતાં હતાં પણ મંજુની નજરમાં કાંઈ નહોતું આવતું. ‘આ બાપાનું કરવું શું ?’ ઓરડીમાંથી વળી કણસવાનો અવાજ આવ્યો. હવે મંજુની ધીરજ ખુટી ગઈ. ઘરમાં કોઈ નહોતું. મનોર દુકાને અને છોકરાઓ નિશાળે. નાનકો ઘોડિયામાં.
”ગયા ભવે મેં મુઇએ નકરા પાપ કર્યા હશે.” મંજુની આંખમાં ધુમાડો ભરાયો. નિસાસો નાખી એ વાસણ ઉટકવા બેઠી.
અંદરથી ઊંહકારા વધ્યા. ઘડીક મંજુ હાથમાં તપેલી એમની એમ રહી ગઈ. આંખમાં ખુન્નસ ભરાયું. એ ખાટલીને ટેકે ઊભી થઈ. અંદર ગઈ. ક્યાંકથી ચાવી ગોતી, કબાટમાંથી બીડી કાઢી. બીડી ને બાકસ બાપાના ઓશિકા આગળ મૂક્યાં. બાપાને જરીક અણસાર આવ્યો. ધ્રુજતી આંગળીઓએ ઝનૂનથી બીડી-બાકસ પકડી લીધાં. ચહેરાની લબડી પડેલી ચામડી પર એક લિસોટો પથરાઈ ગયો. સામટું બળ ભેગું કરી એ બેઠા થયા. જોર કરીને એમણે બીડી સળગાવી. મંજુ લાજ કાઢી એક કોર ઉભી ‘તી. બાપા બીડી પીતા હોય ત્યારે એ એમને એકલા ન મુકતી. ક્યાંક ગોદડામાં તિખારો પડ્યો તો !
બાપા ધ્રુજતી આંગળીઓથી માંડ માંડ બીડી હોઠ સુધી લઈ જાય ને જેવા ફૂંક મારવા જાય કે ફેફસા ધમણ થઈ જાય. ગળામાં ઘરેડી ઉપડે. કોણ જાણે કેટલી વાર એમણે ફંક મારવા મહેનત કરી પણ છાતી ફૂલી ગઈ !! ખોળિયામાં માંડ બચેલા ચપટીક શ્વાસ બીડી પીવા માટે જીવ પર આવી ઝઝુમતા ‘તા.
મંજુય ધ્રુજી ગઈ. ‘હવે કરવું હું ?’ એણે સાનભાન ગુમાવ્યા. લાજ-બાજ એકકોર ને જાણે પંડમાં પલિત પ્રવેશ્યું હોય એમ એ બાપા પાસે ગઈ.
ભગવાનનું કરવું તે એ વખતે જ ડેલીમાંથી મનોર અંદર આવ્યો. સીધો બાપાની ઓરડીમાં. ઉંબરેથી નજર પડતાં જ હેબતાઈ ગયો. મંજુનું ધ્યાન નહોતું. એ બાપાના ખાટલા પાસે હતી. મંજુએ મોઢામાં બીડી મૂકી. ઉંડો કશ ખેંચી બીડી લગાવી ને બાપાના હોંઠ વચ્ચે મુકીને એમનો બરડો પંપાળવા માંડી. બાપાએ જીવ પર આવીને છેલ્લો કશ ખેંચ્યો…
-
પાદુકા-પૂજન
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ત્રેતાયુગમાં ચૌદ વર્ષ સુધી શ્રીરામની ચરણપાદુકાનું સ્થાપન કરીને ભરતે રાજ્યધુરા સંભાળી તે પછી આજના યુગમાં વિધાનબાબુની પાદુકાભક્તિ ચર્ચાનો વિષય બની છે.
વર્ષો પહેલાં કોઈનાય ઘરમાં ભગવાન સિવાય ભાગ્યે અન્ય તસવીર મૂકવામાં આવતી એટલે વિધાનબાબુના ઘરમાં એકે વડીલની તસવીર ન હોય એ સ્વાભાવિક વાત હતી. એવા ઘરમાં કાકાનાં પગરખાંનું પૂજન થાય એ સૌ માટે અચરજની વાત હતી.
વિધાનબાબુએ એમના શયનખંડમાં એક બેઠક પર લાલ રેશમી વસ્ત્ર પર કાકાનાં પગરખાંની સ્થાપના કરી હતી. દર વર્ષે ચંદન અને ધૂપથી એનું પૂજન કરતા.
ગરમીમાં પાકી સડક પર ખુલ્લા પગે ચાલવામાં કેવી તકલીફ પડે એટલે જે કોઈ એમની પાસે સહાય માંગવા જાય એને વિધાનબાબુ બીજું કશું આપે કે ના આપે એક જોડ ચંપલ લેવાના પૈસા જરૂર આપતા.
વિધાનબાબુનો આશય સારો અને સાચો હતો.
કેટલાય લાચાર ગરીબ, ભિખારી કે સહાય માંગવાવાળા, જરૂરિયાતમંદ સગાંસંબંધીઓને નવી ચંપલો ખરીદીને આપે ત્યારે કહેતા, “નાનપણથી કાકાએ શીખવાડ્યું છે કે, અન્નદાન કે વસ્ત્રદાન જ પુણ્યનું કામ નથી. ગરમીમાં, ઠંડીમાં ચંપલોનું દાન પણ ભારે મહત્વનું.”
વાત જાણે એમ હતી કે, વિધાનબાબુના કાકા એમના પિતાજીની જેમ ખાસ બુદ્ધિમાન નહોતા. એ જે કામ હાથમાં લે એ કામ ક્યારેય સફળ થતું નહીં. ક્રમશઃ કાકા નિષ્ફળ, નકામા સાબિત થવા માંડ્યા. અંતે સંયુક્ત પરિવારની ખેતીવાડી સંભાળવાનું કામ કાકાના ફાળે આવ્યું.
બહારના કામમાં કાકાની નિષ્ફળતા છતાં ઘરનું કામ એ કેવી સરળતાથી કરતા એ નાનકડા વિધાને જોયું હતું.
કાકી ઘરનું બધું કામ સંભાળતાં. આખો દિવસ ચાલતું રસોડું સમેટતાં રાત પડતી. એ પછી દાદીના પગ દબાવવાનાં. આખો દિવસ કામને લીધે કાકીની કમર જકડાતી ત્યારે વિધાને કાકાને કાકીના પગ દબાવતા, ઘૂંટણ પર મલમ લગાવતા જોયા હતા. વિધાન સમજતો કે, કાકાએ જો કાકીની તબિયતનું ધ્યાન ન રાખ્યું હોત તો આ સંયુક્ત પરિવાર ક્યારનો વીખરાઈ ગયો હોત.
આખા દિવસના થાકેલાં કાકી સવારે વહેલાં ન ઊઠી શકે તો સવારે ઊઠીને કાકા ચાનું તપેલું ચઢાવતા, ઘરના નોકર-ચાકરથી માંડીને સૌને ચા આપી છોકરાંઓને નાસ્તો બનાવી આપતા.
બપોરે ખેતીવાડી, નારિયેળી સંભાળતા. ઘી-દૂધ, માખણ સૌ ખાતાં પણ ગૌશાળાનું ધ્યાન તો કાકા જ રાખતા. એ ઉપરાંત મહેમાનોની આગતાસ્વાગતા જેવા કેટલાય કામ કાકાના માથે. પણ, એ કામમાં પૈસા ક્યાં મળે એટલે કાકા ન-કામા ગણાતા.
કાકા સાવ નકામા, છતાં વાર-તહેવારે, લગ્નપ્રસંગે દિવસ-રાત જોયા વગર વિવિધ મિષ્ટાન્ન બનાવવામાં એમનો કોઈ જોટો નહોતો.
સહેજ નવરા પડે કે ચબૂતરા પર કબૂતરો ટોળે વળે એમ કાકાની આસપાસ છોકરાંઓ ટોળે વળતાં. સાંજ પડે છોકરાંઓને વાર્તા કહેતા. કાકાને છોકરાંઓ બહુ વહાલાં. એમાં સૌથી વહાલો વિધાન. વિધાન નાનપણથી જ શાંત અને ભણવામાં હોંશિયાર.
જ્યારે વિધાનને શિષ્યવૃત્તિ માટે પાંચ માઇલ દૂરની સ્કૂલમાં જવાનું થયું ત્યારે ઘરમાં સમસ્યા સર્જાઈ, વિધાન જાય કેવી રીતે? એ સમયે ગાડીઓ નહોતી. ઘરનું એક માત્ર સાધન સાઇકલ જે પિતાજી વાપરતા. પણ, કચેરીનું કામ છોડીને એ આવી ન શકે. બાકી રહ્યા કાકા. કરવું શું?
“વિધાનને ખભે બેસાડીને હું લઈ જઈશ.” ન-કામના કાકાએ રસ્તો કાઢ્યો.
શિષ્યવૃત્તિની પરીક્ષા પૂરતા જ નહીં, શિષ્યવૃત્તિના વર્ગો ભરવા આખા મહિના સુધી કાકા વિધાનને ખભે બેસાડીને હરિપુર લઈ જતા. કાકા પાસે ચંપલો નહોતી. ગરમીના દિવસોમાં ખુલ્લા પગે ચાલવામાં કેવુંય કષ્ટ પડ્યું હશે? પગમાં છાલાં પડ્યાં હશે !? ખેતીવાડીમાં કામ કરતા લોકો ભાગ્યેજ ચંપલો પહેરતા. વળી કાકા ક્યાં કારોબાર સંભાળતા કામના માણસ હતા? ગામના પાંચ લોકો વચ્ચે એમની ઊઠકબેઠકેય નહોતી. ભલા એમને વળી ચંપલની શી જરૂર, એટલે કાકા માટે ચંપલ લેવાનો વિચાર સુદ્ધાં કોઈને ન આવ્યો.
વિધાન ભણે ત્યાં સુધી કાકા સ્કૂલ પાસેના ઓટલા પર બેસતા. વિધાન આવે એટલે એને નાસ્તો કરાવી, ચા પીને વિધાનને ખભે બેસાડીને પાછા ઘર તરફ કાકાની દડમજલ શરૂ થતી.
“કાકા, મને ખભે બેસાડીને ચાલવામાં તમારા પગની શી દશા થઈ છે?” વિધાનનો અવાજ રૂંધાતો. પણ, ખુલ્લા પગે દસ માઇલ ચાલવા કરતાં કાકાને વિધાનની ભણવાની જવાબદારી ઘણી વધુ લાગતી.
“મને શું તકલીફ, ભલા? મારે તો આમતેમ આંટાફેરા જ. તારી જેમ ભણવામાં કે ભાઈની જેમ કચેરીના કામમાં ક્યાં મગજ ચલાવવાનું છે?
“એકવાર તું પરીક્ષા પાસ કરીને હાઇસ્કૂલમાં ભણવા જઈશ, મોટો ઑફિસર બનીશ, અમારા વંશનું નામ ઉજાળીશ, એ કંઈ નાની વાત છે ! તું કમાય ત્યારે મારા માટે ચંપલ ખરીદી લાવજે.”
“કાકા, ચંપલ તો લઈ આવીશ, પણ તમે પહેરશો ખરા?”
“હા રે, કેમ નહીં? નકામા માણસો જાતે ચંપલ ન ખરીદે પણ કોઈએ આપેલા તો પહેરી શકે ને?” કાકા સરળતાથી બોલ્યા.
વિધાનને શિષ્યવૃત્તિ મળી ત્યારે ગામભરમાં સમાચાર ફેલાઈ ગયા.
“સાંભળ્યું છે કે તમારા ભત્રીજાને શિષ્યવૃત્તિ મળી?” કોઈએ પિતાજીને સવાલ કર્યો એની સાથે ગાલ પર સણસણતો તમાચો પડ્યો.
“વિધાન મારો ભત્રીજો નહીં દીકરો છે એ જાણતો નથી ? ખભે બેસાડીને લઈ જવાની મને ફુરસદ નથી તો શું એ મારો દીકરો મટી ગયો? જા, હવે આખા ગામમાં જઈને કહી આવ કે, મારા ભત્રીજાને નહીં મારા દીકરાને શિષ્યવૃત્તિ મળી છે.”
કદાચ પહેલીવાર પિતાજીને વિધાન એમનો દીકરો છે એ વાતનો ગર્વ થયો કે જાણ થઈ?
પિતાજીની વાત સાંભળીને કાકા હસ્યા હતા. એમને યાદ હતું કે, વિધાનનો જન્મ થયો ત્યારે માની બચવાની શક્યતા નહોતી. વિધાનના પિતાએ કાકીને બોલાવીને વિધાન સોંપ્યો હતો. આજથી આ દીકરો તારો, પછી સૌનો. નસીબજોગે મા બચી ગઈ, પણ વિધાન કાકા-કાકી પાસે જ ઉછર્યો.. આજે વિધાનને શિષ્યવૃત્તિ મળી ત્યારે પિતાજીને યાદ આવ્યું કે વિધાન એમનો દીકરો છે?
એ પછી તેર-ચૌદ વર્ષની ઉંમરથી વિધાને પોતાની નિષ્ઠા અને બુદ્ધિથી સફળતા મેળવી, ઊંચા હોદ્દા પર કામ કર્યું એ જોવા પિતાજી ન રહ્યા.
વિધાનબાબુને નોકરી મળી તે પછીય કાકા ગામથી ઘી-ગોળ, ચોખા, નારિયેળ લઈને આવતા.
વિધાનબાબુ આવે ત્યારે કાકા-કાકી માટે મેવા-મીઠાઈની સાથે કાકાની શ્વાસની તકલીફ માટે દવાઓ લાવતા. કાકા ભારે ખુશ. વિધાન માટે આશીર્વાદનો ખજાનો ખોલી દેતા.
વિધાનબાબુની વધતી ઉંમર સાથે કાકા સાવ ખખડી ગયા. હવે શહેર જવું મુશ્કેલ હતું. બદલાતી નોકરીના લીધે વિધાનબાબુને આજે કટક તો કાલે કોરાપુટ રહેવાનું થતું. કાકા-કાકીનું સ્વાસ્થ્ય હવે એક શહેરથી બીજા શહેર ફરવાની ઝાક ઝીલે એવું નહોતું. શ્વાસની બીમારી વધતી ચાલી એમ કાકાનું હરવાફરવાનું ઓછું થતું ગયું. ઈશ્વરના દરબારનું તેડું નજીક દેખાતું હતું. વિધાનબાબુ ઊભાઊભ કાકાને ભાવતાં રસગુલ્લા લઈને મળવા દોડ્યા.
કાકાને મળવા ભત્રીજો આવ્યો છે એ સાંભળીને આસપાસના સૌ એકઠા થયા.
“એ ભત્રીજો નહીં, દીકરો છે મારો.” કાકાના અવાજમાં જોશ આવી ગયું.
“હા ભાઈ હા. દીકરો… કોઈ ઇચ્છા છે બાકી? કમાઉ દીકરો આવ્યો છે, તમારી સઘળી ઇચ્છાઓ પૂરી થશે.”
“એક જોડી ચંપલ પહેરવાની ઇચ્છા ઘણાં સમયથી હતી. મોટાભાઈ જેવો તો હું ના બની શક્યો, પણ ચંપલ પહેરીને એકવાર એમની જેમ ચાલવું’તું. વિધાન નાનો હતો ત્યારે કહેતો કે એ લાવી આપશે. કદાચ ભૂલી ગયો લાગે છે નહીંતર એક જોડ ચંપલ તો એ ખરીદીને લાવ્યો જ હોત. હવે તો પગમાં સોજા વધી ગયા છે. કદાચ વૈદ્યની દવાથી સોજા ઓછા થાય ને પહેરી શકું તો નસીબ.”
કાકાની વાત સાંભળીને દિલમાં શારડી ફરી ગઈ હોય એમ વિધાન સ્તબ્ધ.
’ભુલાઈ ગયું કે સૌની જેમ કે પોતે માની લીધું કે, નકામા માણસોને ચંપલની શી જરૂર?’
આજે પણ કાકાના મનમાં ચંપલ પહેરવાની ઇચ્છા એટલી જ બળવત્તર હતી. કાકા માટે ઘણું લાવ્યો હતો, પણ ચંપલ લેવાયા નહોતા એ હકિકત હતી.
વિધાનબાબુ ચંપલ લઈ આવ્યા. ઈશ્વર કરે ને કાકાના પગના સોજા ઓછા થાય. કમ સે કમ એકવાર ચંપલ પહેરી શકે તો ગનીમત.
સોજા ઓછા થાય એની રાહમાં કાકાએ ચંપલ પગને સ્પર્શે એટલી અડોઅડ મુકાવી.
“મારો વિધાન લાવ્યો છે. પ્રભુ મને એ પહેરીને ચાલવાની તાકાત આપશે.” અંતિમ ક્ષણો સુધી એ બોલતા રહ્યા અને જીવ ચાલ્યો ગયો.
વિધાનની ચંપલમાં એટલી તાકાત નહોતી કે કાકાની પરમધામ તરફ જતી યાત્રા પાછી વાળી શકે. કાકાની અંતિમક્રિયા પછી ફક્ત એકવાર કાકાના ચરણસ્પર્શ પામેલા એ પગરખાં માથું નમાવી વિધાનબાબુ લઈ આવ્યા.
ચૌદ વર્ષના વનવાસ પછી પોતે પાછા ફરશે એવો શ્રીરામે ભરતને વાયદો આપ્યો હતો. કાકાએ વિધાનને એવો કોઈ વાયદો આપ્યો નહોતો, પણ ઉનાળાની બળબળતી બપોરે ધરા ધગધગતી હોય ત્યારે કાકાએ પહેરેલાં પગરખાંનો ખટખટ અવાજ વિધાનના હૃદયને વીંધતો રહે છે.
પ્રતિભા રાય લિખિત, રાજેન્દ્ર પ્રસાદ મિશ્ર અનુવાદિત વાર્તા આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સદાબહાર સૂર શ્રી અવિનાશ વ્યાસ –
આલેખનઃ રાજુલ કૌશિક
કહે છે શબ્દો ક્યારેક તીર લાગે તો શબ્દો ક્યારેક લકીર લાગે. અવિનાશ વ્યાસના શબ્દો લકીર બનીને આપણા મન પર કોતરાઈ ગયા છે.
૨૧મી જુલાઈ- અવિનાશ વ્યાસના જન્મદિનની દેશ-વિદેશથી અનેક લોકોએ જે રીતે લાગણીસભર ઉજવણી કરતા હોય છે એ જોઈએ ત્યારે સાચે સમજાય કે, એ સૌ ગુજરાતીઓનાં મન પર સોનાના લેખની જેમ કોતરાઈ ગયા છે. દેશ-વિદેશથી અવિનાશ વ્યાસના ચાહકોએ એમને યાદ કરીને, એમની અનેરી વાતો કરીને જે સ્નેહાંજલિ આપી એ જોઈએ ત્યારે સમજાય છે કે આટલા વર્ષો પછી પણ એમની પ્રત્યેનો આદર, સ્નેહ જરાય ઓસર્યા નથી.
આનંદની વાત તો એ છે કે ૨૧મી જુલાઈના દિવસે એક નહીં અનેક જગ્યાએથી એમના વિશે આદરભાવ પ્રગટ કરતાં અનેક સંદેશા જોવા મળ્યા જેમાં ક્યાંક પોતાની અંગત લાગણીઓ છલકાતી હતી તો ક્યાંક થોડી જાણેલી-સાંભળેલી વાતો પણ વાગોળવામાં આવી હતી.
આજે એમાંથી એકાદ વાત તમારા સુધી પહોંચાડવાનું ગમશે. શક્ય છે તમે આવી વાતોથી વાકેફ હોઈ પણ શકો…
પુનરોક્તિ થતી હોય તો પણ આજે એક વાત કહેવી છે કે માત્ર ગુજરાત કે ગુજરાતીઓ જ નહીં પણ ભારતભરના ખ્યાતનામ ગાયકો પણ એમને અત્યંત સન્માનનીય માનતા.
સંગીતની દુનિયાના સર્વ શ્રેષ્ઠ કહી શકાય એવા લતા મંગેશકર, મુકેશ અને મહમદ રફી જેવા ગાયકો પણ એમને ગુરુ માનતા, ચરણસ્પર્શ કરતા. કિશોરકુમાર જેવા ટોચના તેમ છતાં અનાડી કહેવાય એવા ગાયક પણ એમને ગુરુ માનીને એમની ચરણરજ માથે ચઢાવી આશીર્વાદ પ્રાર્થતા. કિશોર કુમારે એમને શ્રેષ્ઠ અંજલિ આપતા કહ્યું હતું કે ‘લક્ષ્મીકાંત-પ્યારેલાલ હો યા કલ્યાણજી- આણંદજી, એ સૌ અવિનાશ વ્યાસના અસિસટન્ટ રહી ચૂક્યા છે.’
આવી અપાર લોકચાહના ધરાવતા હોવા છતાં એ પ્રકૃતિએ અત્યંત નમ્ર અને સૌજન્યશીલ હતા. હવે જે વાત સાંભળી છે એ તો જાણે અવિનાશ વ્યાસ માટે સાવ અનોખી કહી શકાય એવી છે. ૨૦૧૨ એટલેકે અવિનાશ વ્યાસના ૧૦૦મા જન્મદિને એમની સ્મૃતિમાં એક સમારોહ યોજાયો હતો. સમારોહના સંચાલકે એમના પ્રત્યેનો આદરભાવ રજૂ કરતા અવિનાશ વ્યાસની સિદ્ધિઓ, એમને રચેલા ગીતોની સંખ્યા, એમણે મેળવેલા પારિતોષિકો વિશે જાણકારી આપતા કહ્યું કે ,
“ આમ તો અવિનાશ વ્યાસ ગુજરાતી ક્ષેત્રે બ્રેડમેન હતા.”
મઝાની વાત એ થઈ કે સમારોહની વચ્ચે સ્ટેજ પર આવીને એક શ્રોતાએ નમ્રતાથી એ સંચાલકની માફી માંગતા તેમ છતાં દૃઢતાથી કહ્યું કે, “અવિનાશભાઈ ગુજરાતી ગીતોના બ્રેડમેન છે એમ કહેવા કરતાં બ્રેડમેન ક્રિકેટમાં અવિનાશ વ્યાસ હતા એમ કહેવું વધુ ઉચિત રહેશે.”
આવી રીતે ક્રિકેટના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સર ડોનાલ્ડ બ્રેડમેનની શ્રેષ્ઠતા દર્શાવવા લોકલાડીલા ગીતકાર પદ્મશ્રી અવિનાશ વ્યાસને યાદ કરવા એ આપણા મતે આપણી જેમ બ્રેડમેને પણ ગૌરવ લેવા જેવી વાત થઈ. સાંભળ્યા મુજબ અવિનાશ વ્યાસ મૂળ તો ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનવાવા ઈચ્છતા હતા. જો એમ બન્યું હોત તો? જેના નામે વિધાતાએ સફળતાના આશીર્વાદ લખ્યા હોય એ તો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પામે જ.. આ એક રેકોર્ડની વાત છે બીજો એક રેકોર્ડ અવિનાશ વ્યાસના નામે લખાયો હતો એનો ઉલ્લેખ કરવો છે.
ગીત-સંગીત ક્ષેત્રે એમની નામના એટલી વધતી જતી હતી કે ભાવનગર નરેશે પોતાના મહેલમાં તેમની બેઠક રાખીને ‘ ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની’ રેકોર્ડ કર્યું હતું.
[માત્ર સંદર્ભોચિત વિડીયો ]
કમલેશ સોનાવાલા નામ સૌ માટે એટલું જાણીતું નથી. ભારતમાં ઇન્ફર્મેશન ટેકનોલૉજી ક્ષેત્રના નિષ્ણાત કમલેશ સોનાવાલાએ કવિતા ક્ષેત્રે પણ ખેડાણ કર્યું છે. ક્યારેક એમને આ અંગે તદ્દન વિરોધાભાસ ધરાવતા એમના વ્યવસાય અને રસના બે પાસા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે જે ઉત્તર આપ્યો એ જાણવા જેવો છે. એમણે કહ્યું કે, “એમના માતા ઉર્મિલા સોનાવાલા આપણા આ ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસના સૌ પ્રથમ વિદ્યાર્થીની હતાં. સંગીતની ઘણી બેઠકો એમના ઘરે યોજાય. દર જન્માષ્ટમી તો ખૂબ મોટી ઉજવણી થાય ત્યારે સહકુટુંબ ભેગા થઈને એ પરિવાર રાસ-દુલારી ગાય. જન્માષ્ટમીએ એમના ઘરે અવિનાશ વ્યાસની હાજરી હોય. એમની સાથે અન્ય કવિ, શાયર અને કલાકારો પણ આવે. આમ એમના કહેવા મુજબ એમનું ઘડતર સાહિત્ય-સંગીતના વાતાવરણમાં થયું.”
આજના આ લેખ પાછળ કહેવાનું તાત્પર્ય માત્ર એ કે અવિનાશ વ્યાસની ખ્યાતિને લઈને આપણને ગુજરાતી હોવાનું, આપણા ગુજરાતીપણાનું ગૌરવ થાય અને તેમ છતાં એ પોતાના માટે શું કહેતા એ પણ જાણીશું તો મુઠ્ઠી ઉંચેરી વ્યક્તિ તરફ આપણા મનમાં આદરનો સરવાળો નહીં ગુણાકાર આપોઆપ થઈ જશે.
અવિનાશ વ્યાસ કહેતા કે, “ હું આકારને ઓળખતો નથી. હું નિરાકારને ઓળખું છું. હું અંત અને અનંત વચ્ચેના પડદાનો પૂજક છું. પડદા પાછળ શું છે એની મને પડી નથી, જાણવું પણ નથી. હું માત્ર અવિનાશ થઈને રહું એ જ બસ છે.”
એમના આવા ભાવ એમની એક રચનામાં છલકાતા અનુભવાય છે.
“પ્રભુ મારે તું રાખે તેમ રહેવું, પ્રભુ મારે તું રાખે તેમ રહેવું,
કાંઈ નથી બીજું કહેવું મારે, કાંઈ નથી બીજું કહેવું મારે,
જય શ્રીકૃષ્ણ જય શ્રીકૃષ્ણ એક જ નામ લેવું મારે,
તારે દેવું દુઃખ હશે તો હસતે મુખડે સહેવું,
ધન વૈભવની ઈન્દ્રજાળમાં રચ્યા પચ્યા નથી રહેવું,
બીજું કાંઈ નથી લેવું દેવું, પ્રભુ તું રાખે તેમ રહેવું,
માયાની ભૂલવણીમાં મારી કાયા ભૂલી પડી છે,
પ્રેમલ જ્યોતિ પાથરવા પ્રભુ તારી જરૂર પડી છે,
મને જગ લાગે મૃગજળ જેવું, પ્રભુ તું રાખે તેમ રહેવું.”
કદાચ ક્યાંય પોતાના વ્યક્તિત્વને, પોતાના કૌશલ્યને સાબિત કરવાની એમની પ્રકૃતિ જ નહોતી. અત્યંત શાંત, સૌમ્ય, નિતાંત સાદગી, ઓલિયા જેવું એમનું વ્યક્તિત્વ સૌએ જોયું છે, જાણ્યું છે. -
મહેન્દ્ર શાહનાં જુલાઇ ૨૦૨૬ નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah;s Art Creations for July 2026
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
કાર્ટૂનકથા (૨૯)
બીરેન કોઠારી
આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
‘વારેવા’ના ઓગણત્રીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.
વાર્તાવ્યંગ્ય

શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
જળને બેઠું ચોમાસું | વર્ષા મારા નામે
રક્ષા શુક્લ
જળને બેઠું ચોમાસું
જળને બેઠું ચોમાસું ‘ને મને સોળમું વરસ.
ભારે પગલે વાદળ તોયે મારા હિસ્સે તરસ !છલછલ થાતું પગલું ‘ને પગલામાં તળાવ આખું,
કંકુવરણી પાની કહેતી ‘હું મહુડાને ચાખું.‘
સગપણ ઊગ્યું શ્રાવણમાં ત્યાં મને ફૂટતું લાખું,
ભીંજાવાની તરસે દોડી જળમાં પાસા નાખું.વરસાદી ઘટના ‘ને ધસમસ સપનાં અરસપરસ,
જળને બેઠું ચોમાસું ‘ને મને સોળમું વરસ.ફરફરતું કોઈ પાન લઇને પાનેતરમાં ભરતી,
ઝંઝાવાતો જળ આપે ‘ને દર્પણ પાસે સરતી.
નેવાના જળની ધારે હું વગર તરાપે તરતી,
ટીંપાનું તોરણ હું આખા નભને બાંધી ફરતી.દોટ મૂકી વાદળને કીધું ‘મન મૂકીને વરસ’.
જળને બેઠું ચોમાસું ‘ને મને સોળમું વરસ.
વર્ષા મારા નામે
ચાતકની નજરુંથી મેં તો જોયું નભની સામે.
સૂપડાધારે સરતી રહેતી વર્ષા મારા નામે.જળ-ઝૂરાપો લઈને ઊડતી અટકળ ઊભી ચકલી ચાંચે,
જળનો ઘૂટું ‘જ’ ત્યાં જૂઈબા ઊંચી ડોકે અક્ષર વાંચે,
જળમાં ડૂબી જાત પછી તો ભાન થયું ભોં ભેગું, સાચે,
જળને કીધું, ‘જા, જઈને જો, હાંફ લઈ કોઈ ઊભું ખાંચે ?’ભાઈ ગયો ભણવા, જો બાપુ જાય ખેતરે, જામે.
ચાતકની નજરુંથી મેં તો જોયું નભની સામે.જળ તો ધીંગુ, ધસમસ નળિયામાંથી છૂટે, બૂમો પાડે,
જળ દોડે આગળ, ને પાછળ હું દોડું, તું પાનાં ફાડે.
જળના નાખી પાસા તું કાં સ્વપ્ન જગાડે ધોળે દા’ડે,
જળની હેબત ક્યાંથી ઝીલું, મૂઈ, હું તો છું પોચી હાડે.શ્વાસોની સંતાડી ડમરી પ્હોંચી હું સરનામે.
ચાતકની નજરુંથી મેં તો જોયું નભની સામે. -
અહેવાલ અને અભરાઈ બન્ને એકમેક માટે બનેલા છે?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
એક જમાનામાં શાળાના પરિણામનો દિવસ વિદ્યાર્થીઓ માટે ખાસ ઉત્સુકતાનો રહેતો. કોણ પ્રથમ આવ્યું, કોણ પાછળ રહ્યું—તેની ચર્ચા થતી. પણ થોડા સમયમાં સમજાતું કે આવો ક્રમ એ આખા વિદ્યાર્થીનું સંપૂર્ણ મૂલ્યાંકન નથી. એટલે કે ગમે એવી જટિલ વાસ્તવિકતાને આંકડામાં સમેટી કે દર્શાવી શકાય ખરી, જે આપણા સૌની પ્રિય પ્રવૃત્તિ છે. પણ એ આંકડો આખી વાત ભાગ્યે જ કહી શકે.
રાજ્યોના વિકાસનું મૂલ્યાંકન કરતી વખતે પણ આ બાબત ધ્યાને લેવી પડે. કોઈ રાજ્યની અર્થવ્યવસ્થા મોટી હોય, ઉદ્યોગો વધુ હોય કે આવકનું પ્રમાણ ઊંચું હોય, તો આપણે તેને વિકસિત માનવા લાગીએ છીએ. પણ વિકાસ એટલે માત્ર આર્થિક વૃદ્ધિ? જાહેર આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, ખેતી, જાહેર સુવિધાઓ વગેરે જેવી અનેક બાબતો વિકાસ સાથે સંકળાયેલી હોય છે. તાજેતરમાં પ્રકાશિત થયેલો ‘સ્ટેટ ઑફ ઇન્ડિયાઝ એન્વાયર્ન્મેન્ટ ૨૦૨૬’ અહેવાલ આ રીતે મહત્ત્વનો બની રહ્યો છે. તેમાં પર્યાવરણ, ખેતી અને જમીન, જાહેર આરોગ્ય તથા માનવવિકાસ અને જાહેર માળખાગત સુવિધાઓ જેવાં ચાર મુખ્ય ક્ષેત્રોના આધારે આપણા દેશનાં રાજ્યોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી આ અહેવાલ અનુસાર દેશનાં સૌથી વધુ વસ્તી ધરાવતાં પાંચ રાજ્યો—ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ—ઘણા માપદંડોમાં પાછળ રહ્યાં છે. તો ગોવા, આસામ, હિમાચલ પ્રદેશ અને નાગાલેન્ડ જેવાં, પ્રમાણમાં નાના રાજ્યો અનેક ક્ષેત્રોમાં આગળ છે. એટલે કે એ હકીકત નીચે લીટી ઘેરી બને છે કે મોટું રાજ્ય એટલે વધુ વિકસિત, વધુ વસ્તી એટલે વધુ પ્રગતિ કે મોટી અર્થવ્યવસ્થા એટલે સર્વાંગી વિકાસ એવું હંમેશાં હોતું નથી. બીજી રીતે કહીએ તો વિકાસનો સંબંધ માત્ર કદ સાથે નહીં, આયોજન, શાસનની ગુણવત્તા અને જાહેર સેવાઓની અસરકારકતા સાથે પણ છે. આ અહેવાલ માટેના જરૂરી આંકડા સરકારી સ્રોતમાંથી લેવામાં આવ્યા છે.
આ અહેવાલની સૌથી રસપ્રદ બાબત કદાચ એ છે કે પ્રથમ ક્રમે આવવું એટલે સંપૂર્ણ બનવું નહીં. ગોવા ઘણા માપદંડોમાં આગળ છે ખરું, છતાં ત્યાં પાણીના શુદ્ધીકરણ, પ્રદૂષિત નદી વિસ્તારો અને જાહેર આરોગ્યની માળખાકીય મર્યાદાઓ જેવા પ્રશ્નો છે. પંજાબ ખેતીની દૃષ્ટિએ મજબૂત રાજ્ય છે, પણ રાસાયણિક ખાતરો પરની વધુ પડતી નિર્ભરતા અને સજીવ ખેતીના અભાવ જેવા પ્રશ્નોથી તે અસરગ્રસ્ત છે. એટલે અમુકતમુક માપદંડ અનુસાર કોઈ રાજ્ય અગ્રક્રમે હોય એ કોઈ મોટી સિદ્ધિ નથી, એમ કોઈ રાજ્ય પાછળ હોય તો એ એવી શરમની વાત પણ નથી. કેમ કે, મૂળ વાત તો પોતે પોતાના ક્રમ બાબતે, મર્યાદાઓ બાબતે સભાન છે કે કેમ એ જ મહત્ત્વનું છે.
આ જ બાબતને જરા વ્યાપક રીતે જોઈએ તો, માત્ર રાજ્યો માટે નહીં, વ્યક્તિ અને સમાજ માટે પણ આ હકીકત લાગુ પડે છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સંપૂર્ણ નથી હોતી. આગળ વધવાનો અર્થ એ નથી કે તેનામાં કશી ખોટ નથી. આગળ વધવાનો સાચો અર્થ એ છે કે પોતાની ખામીઓને ઓળખીને તેને દૂર કરવાની તેની તૈયારી છે. ચાહે એ વ્યક્તિ હોય, સંસ્થા હોય કે રાજ્ય હોય!
આંકડાઓનું મહત્ત્વ અવશ્ય છે. તે આપણને વાસ્તવિકતા નિહાળવાનો એક દૃષ્ટિકોણ આપે છે. તે બતાવે છે કે ક્યાં પ્રગતિ થઈ છે અને ક્યાં હજી લાંબી મજલ કાપવાની છે. એ જ રીતે આંકડાઓની પોતાની એક મર્યાદા પણ છે. તેમાં એ બાબત દર્શાવી શકાય છે કે કેટલા રસ્તા બન્યા, કેટલા લોકોને આરોગ્યસુવિધા મળી કે કેટલો જંગલ વિસ્તાર બચ્યો. પણ કોઈ સમાજમાં જવાબદારીની ભાવના કેટલી છે, જાહેર જીવનમાં સંવેદનશીલતા કેટલી છે કે લોકો પોતાના ભવિષ્ય વિશે કેટલા સજાગ છે—એ બધું માત્ર આંકડાઓથી માપી ન શકાય.
અત્યારે આખો ખેલ ક્રમાંકનો ચાલી રહ્યો છે. ચાહે એ પરીક્ષા હોય કે સમાજજીવન યા રાજકારણ. ક્રમાંક આગળ આવડત ગૌણ બની રહે એવું વાતાવરણ આપણે નિર્માણ કરી દીધું છે. નેતાઓ પોતાની છબિને અનુકૂળ બની રહે એવા અહેવાલ કે સર્વેક્ષણ કરાવે છે, એમ જે સર્વેક્ષણ કે અહેવાલમાં પોતાની છબિ ખરડાતી લાગે એને તેઓ વિશ્વસનીય ગણતા નથી. આખો ખેલ વાસ્તવિકતાનો નહીં, પણ છબિનો, એટલે કે શું છે એનો નહીં, પણ કેવું દેખાવું જોઈએ એનો છે. આ આખા ખેલમાં એવી એવી નકામી વસ્તુઓ મૂલ્ય તરીકે સ્થાપિત થતી જાય છે કે મૂળભૂત બાબત સાવ ગૌણ બની રહે છે.
આ અહેવાલના સહકર્તા અને ‘ડાઉન ટુ અર્થ’ના મેનેજિંગ તંત્રી રિચર્ડ મહાપાત્રે જણાવ્યા અનુસાર ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પૈકીનાં બત્રીસ જાહેર માળખાકીય સુવિધાઓ (સડક, વિજળી અને આવાસ) બાબતે અડધે પણ પહોંચી શક્યા નથી. મતલબ કે સમગ્રપણે રાષ્ટ્રીય વિકાસ ઘણો ઘણો મંથર ગતિએ થઈ રહ્યો છે. આપણા માટે આ અહેવાલ કેવળ ક્રમાંક મેળવવાનું માધ્યમ બની રહે એમ હોય તો એનો કશો અર્થ સરતો નથી.
એવો સવાલ પણ થઈ શકે કે આ અહેવાલ ગમે એટલો પ્રમાણભૂત હોય, પછી એનું શું? એમાં ઊજાગર કરાયેલી બાબતો પર વિચારવિમર્શ કરવા કોઈ તૈયાર થશે ખરું? એમાં દર્શાવાયેલી પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા અંગે કશાં પગલાં લેવાશે? કે પછી નાણાં ખર્ચાયા પછી તૈયાર થયેલો વધુ એક અહેવાલ આખરે અભરાઈને શોભાવશે?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩-૭– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
ચોમાસાને કાગળ લખ, એ સમજી જાશે..
ભગવતીકુમાર શર્મા
ચોમસાને કાગળ લખ
એ સમજી જાશે..
ના ફાવે તો ઝાકળ લખ,
એ સમજી જાશે..અડખે – પડખે
લાંબા – ટુંકા મીંડા દોરી..
એની નીચે વાદળ લખ,
એ સમજી જાશે..અકાદ – બે સર્પાકારી
લીટી દોરી..
એમાં વચ્ચે ખળખળ લખ
એ સમજી જાશે..તીર જેવું દોરી
એનો છેડો તું લંબાવ..
હળવેથી હળ લખ
એ સમજી જાશે..જેવી ફાવે એવી
તું બે આંખ ચિતરજે..
પાંપણ નીચે જળ લખ
એ સમજી જાશે..અગન ઓકતા આભમાં
પંખી જેવી બે લીટી તાણ..
એની નીચે ચાતક લખ
એ સમજી જાશે..ચોમાસાને કાગળ લખ
એ સમજી જાશે..🌨️💧☔️☂️ -
પતંજલિ યોગસૂત્ર : એક આચમન – પ્રાસ્તાવિક
દિ નેશ લ. માંકડ
ભારતીય સંસ્કૃતિની મહાનતાને સહુ સ્વીકારે જ છે. એમાંય જ્યારથી ૨૧ મી જૂન ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘ તરીકે પ્રસ્થાપિત થયો છે ત્યારથી તો યોગ વિષે વૈશ્વિક જાગૃતિ તો ઉડીને આંખે વળગે છે. યોગ શબ્દથી હવે લગભગ કોઈ અપરિચિત નથી યોગ શબ્દ સંસ્કૃત ભાષાના युज् ( ધાતુ } શબ્દ થી આવેલો છે. युज् એટલે જોડાવું.
યોગ શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં અનેક જગ્યાએ થયેલો છે.શ્રીમદ ભગવદગીતામાં યોગ શબ્દ દરેક અધ્યાય સાથે અને અનેક શ્લોકમાં પ્રયોજાયેલો છે.ઉપનિષદોમાં પણ અનેક મંત્રોમાં યોગ શબ્દ તેના યથાર્થ ભાવ .સાથે છે માનવ ને માનવ તરીકે જીવન જીવતાં શીખવનાર અનેક પુણ્યશ્લોક ઋષિઓ એ આપણા અમૂલ્ય વા રસાનો ભાગ છે. મહાશ્રી પતંજલિ પણ એમાંના એક છે.
પ્રાચીનકાળ થી યોગ એ ઋષિઓ અને માનવજીવનનો સહજ ભાગ જ હતો. મહર્ષિ પતંજલિએ આશરે બે હજાર વર્ષ પહેલાં માનવની ઉત્તમ જીવન શૈલીને ઘડતાં 196 જેટલાં યોગસૂત્રો તૈયાર કર્યાં. એ એટલે ‘ પતંજલિ યોગસૂત્ર ‘
ઇતિહાસકારોના મતે મહર્ષિ પતંજલિ ઈસ્વીસન પૂર્વે આશરે 200 વર્ષ પહેલાં થઇ ગયા.ઉત્તરપ્રદેશના ગોંડા શહેરમાં જન્મેલા પતંજલિ ,પ્રખર વ્યાકરણ શાસ્ત્રી પાણિની શિષ્ય મનાય છે.એક મત અનુસાર મહર્ષિ પાણિનીના વ્યાકરણ પર નું મહાભાષ્ય પણ પતંજલિ એ લખ્યું છે.તેમનું નામ આયુર્વેદ સંશોધન સાથે પણ જોડાયેલું છે.રાજા ભોજે તો મહર્ષિ પતંજલિને તન અને મનના ચિકિત્સક તરીકે ઓળખાવ્યા છે.
‘ પતંજલિ યોગસૂત્ર ‘ ના માત્ર ૧૯૬ સૂત્રોમાં ગારગરમાં સાગર જેટલો અમૂલ્ય ભંડાર છે’ જે યોગના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક પાસાઓ સમજાવે છે સ્વામી વિવેકાનંદ ,શ્રી યોગેશ્વરજી ,તેમજ અનેક ચિંતકોએ તેમના પર ભાષ્ય લખયાં છે. . .અત્યારે યોગ શબ્દને લઈને જે શારીરિક અને માનસિક ક્રિયાઓ થાય છે તે યોગનો અલ્પત્તમ ભાગ છે. અલબત્ત તન અને મનના સ્વાસ્થ્ય માટે તો ઉત્તમ છે જ. અને હવે તો લગભગ મોટાભાગના ઘેર કોઈને કોઈ નાના મોટા જોડાયેલ છે.. તેવે વખતે યોગના મૂળમાં શું છે ? પાયામાં શું છે ? તે વિષે વિશેષ જાણવાની જિજ્ઞાષા હોય તે સ્વાભાવિક છે.
કેટલાક વિવેચકો માત્ર અષ્ટાંગ યોગને જ પતંજલિ યોગ ગણે છે પરંતુ મહર્ષિ પતંજલિએ તો માણસની જીવનની શ્રષ્ઠત્તમ અવસ્થા વિષે સૂત્રો આપેલાં છે. પતંજલિ યોગસૂત્રમાં ચાર પ્રકરણ છે. : સમાધિ પાદ, સાધનપાદ ,વિભૂતિપાદ અને કૈવલ્ય પાદ
સમાધિ પાદ { ૫૧ સૂત્રો }
એ મહર્ષિ પતંજલિ દ્વારા રચિત યોગ સૂત્ર નો પ્રથમ અને મુખ્ય ભાગ છે, જેમાં યોગનો ઉદ્દેશ્ય, ચિત્તની વૃત્તિઓ અને તેને કાબૂમાં કરવાની રીતો વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું છે
સાધન પાદ { ૫૫ સૂત્રો):
એ મહર્ષિ પતંજલિ રચિત ‘યોગસૂત્ર’નો બીજો અને અત્યંત મહત્વપૂર્ણ અધ્યાય છે। તેમાં માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટેના વ્યવહારિક ઉપાયો (ક્રિયા યોગ અને અષ્ટાંગ યોગ) નું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.
વિભૂતિપાદ (૫૫ સૂત્રો):
એ મહર્ષિ પતંજલિ દ્વારા રચિત યોગસૂત્ર નો ત્રીજો અધ્યાય છે, જે અષ્ટાંગ યોગના અંતિમ ત્રણ અંગો—ધારણા, ધ્યાન અને સમાધિ—તેમજ તેનાથી પ્રાપ્ત થતી અલૌકિક સિદ્ધિઓ (વિભૂતિઓ) નું વિસ્તૃત વર્ણન કરે છે.
કૈવલ્ય પાદ (૩૪ સૂત્રો):
એ મહર્ષિ પતંજલિ દ્વારા રચિત પતંજલિ યોગ સૂત્ર નો ચોથો અને અંતિમ ભાગ છે. આ અધ્યાય આઝાદી, આત્મ-સાક્ષાત્કાર, અને મુક્તિ (કૈવલ્ય) ની અંતિમ અવસ્થાનું વર્ણન કરે છે.
કેવળ ઉપદેશ નહિ પણ માનવમાત્રને ઉત્તમ માનવ બનવાની દિશામાં વ્યવહારલક્ષી સૂત્રો આપનાર મહર્ષિ પતંજલિને સમગ્ર માનવ આ રીતે વંદન કરે છે.
योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन |
योऽपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि ॥“ યોગ દ્વારા જેણે ચિત્ત (મન) ની અશુદ્ધિઓને દૂર કરી છે, વ્યાકરણ (પદ) દ્વારા જેણે વાણી ને શુદ્ધ કરી છે, અને વૈદકશાસ્ત્ર દ્વારા જેણે શરીર ના રોગો (અશુદ્ધિઓ) નું નિવારણ કર્યું છે, તેવા મુનિઓમાં શ્રેષ્ઠ એવા મહર્ષિ પતંજલિને હું હાથ જોડીને નમસ્કાર કરું છું.”
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
-
સ્મૃતિસંપદા – સપના વિજાપુરા : જિંદગીકા સફર [૩]
ગતાંકમાં આપણે સપના વિજાપુરા ના નવા જીવનની મઝાની સફરમાં સંગાથ કર્યો.
હવે આગળ ……
અમેરિકાની સફર!
શરીફે એરફ્રાન્સ ની ટિકિટ મોકલેલી. મારે પેરિસ થઈને અમેરિકા જવાનું હતું. મારા બંને હાથમાં મહેંદી મુકેલી હતી. પ્લેનમાં ઘણાં ગોરા લોકો હતાં. અને એજ પ્લેનમાં રાજેન્દ્રકુમાર બૉલીવુડ ના હીરો પણ હતા. લાંબી મુસાફરીમાં એકવાર હું અને રાજેન્દ્રકુમાર વોશરૂમની લાઈનમાં સાથે થઇ ગયાં . એમણે મને પૂછ્યું “અમેરિકા જાઓ છો?” મેં કહ્યું,”હા.” બાજુમાં એક ગોરો ઉભો હતો એણે મને પૂછ્યું,” વ્હોટ ઇઝ ઈન યોર હેન્ડ?” રાજેન્દકુમારે હસતા હસતા કહ્યું ,”ઇટ્સ કોલ્ડ હેના. શી મસ્ટ બે ગોઈંગ ટુ સી હર હસબન્ડ.” અને ફરીથી ખડખડાટ હસી પડ્યા. હું પણ શરમાઈ ગઈ. આટલી વાતો થઇ ત્યાં સુધી મને ખબર ના પડી કે આ રાજેન્દ્રકુમાર છે. પણ હું મારી સીટ પર પાછી ફરી તો મારી બાજુમાં બેઠેલી એક ભારતીય સ્ત્રીએ પૂછ્યું,”શું કહેતો હતો રાજેન્દ્રકુમાર?” ત્યારે મને ખબર પડી કે એ રાજેન્દ્રકુમાર હતો.
મારા આવ્યા પહેલા શરીફ ફાર્મસી માં જોબ શોધતો હતો. અમેરિકા આવ્યા પાછી શરીફે ફાર્મસીની પરીક્ષા આપી ના હતી. તમારી પાસે ફોરેનની ફાર્મસીની ડિગ્રી હોય તો 3000 કલાકની ઇન્ટરશીપ કરવી પડે પછી તમે ફાર્મસીની પરીક્ષામાં બેસી શકો. અંતે વોટકિન્સ ફાર્મસીમાં ગયો. તે ફાર્મસીનો માલિક ફ્રેડ વુલ્ફ હતો. શરીફે એને કહ્યું કે હું તારી ફાર્મસી માં મફતમાં કામ કરીશ પણ તું મને થોડા કલાક રોજના આપ. ફ્રેડને વિશ્વાસ આવતો નહોતો. શરીફે પ્રમાણિકતાથી મફતમાં કામ કરવા માંડ્યું. શરીફના ગણિત થી અને શરીફની ચપળતાથી ફ્રેડ ખૂબ પ્રભાવિત થયો હતો. હવે બંને દોસ્ત બની ગયાં હતાં . એની વાઈફ મરીન પણ શરીફને ખૂબ ગમાડતી હતી. આ દોસ્તી અમારી હજુ કાયમ છે. દોસ્તી માટે ધર્મ, જ્ઞાતિ અને રંગના વાડા નડતાં નથી. જીવ થી જીવ મળવો જોઈએ. માણસ ખરાબ હોતાં જ નથી. આખા વિશ્વમાં ફરી વળો, આ પંડિત અને મૌલવી અને પાદરીએ દીવાલો ઊભી કરી છે. બાકી દરેકના શરીરમાં એજ લાલ રંગનું લોહી છે, અને છાતી નીચે સંવેદનશીલ હૃદય હોય છે.
હું એપ્રિલ 21,1978 ના દિવસે શિકાગોના એરપોર્ટ ઓહેર પર ઉતરી ત્યારે મને ગ્રીનકાર્ડ એરપોર્ટ પર જ આપી દીધેલું. શરીફ મને લેવા આવેલો, પણ પહેલી નજરે હું એને ના ઓળખી શકી! કારણકે એને મૂંછ રાખેલી. મેં સિલ્કની સાડી અને ફક્ત એક સ્વેટર પહેરેલું હતું, પગમાં સેન્ડલ હતા. શિકાગોની કાતિલ ઠંડીનો પરચો પહેલે દિવસે જ મળી ગયો. અંબાલાલ પટેલની કારમાં શરીફ મને એરપોર્ટ લેવા આવેલો. શરીફે ખાસ અંબાલાલને વિંનતી કરીને “બહારો ફૂલ બરસાવો મેરા મહેબૂબ આયા હૈ” ની કેસેટ મૂકાવેલી. આ વાત હું ક્યારેય નહિ ભૂલું. શરીફ મારો વ્યાકુળતાથી ઇન્તેઝાર કરી રહ્યો હતો. અને પ્રેમના પુષ્પોથી એને મારું અમેરિકામાં સ્વાગત કર્યું.
અંબાલાલ અમને શંકરભાઇ અને શાંતીભાભીને ઘરે મૂકી ગયા. શરીફ એની કૉલેજના મિત્ર શંકરના ઘરે રહેતો હતો. બે બેડરૂમ કિચન અને એક વોશરૂમનું સરસ મોટું એપાર્ટમેન્ટ હતું. મને ખાવાનું બનાવવાનો ખૂબ શોખ હતો. હું જાતજાતનું ખાવાનું બનાવતી , શાંતીભાભી મને મદદ કરતાં. શરીફ અને શંકરભાઇ બંને ગુલ્ડ કંપનીમાં કામ કરતા હતા. ફિલ્ડની જોબ ના હતી. ઓડ જોબ હતી. બંને કવોલિટી કંટ્રોલ ઇન્સપેકર હતાં . હજુ મારા આવ્યાને અઠવાડિયું પણ નહોતું થયું ને શરીફે મને દસ ડોલર આપી સામેથી દૂધ, દહીં, ઈંડા, બ્રેડ વિગેરે લઇ આવવા કહ્યું. હું જવા માટે તૈયાર ના હતી. પણ શરીફે દબાણ કરીને મને મોકલી. હું લગભગ રડી પડી. કારણકે ગોરા લોકોની સાથે કેવી રીતે વાત કરવી, ડોલર અને કોઈન શી રીતે ગણવા એ મને આવડતું ના હતું. હું કાર્ટ લઈને ગ્રોસરી સ્ટોરમાં ગઈ. શરીફે બિલ લાવવાનું કહેલું. હું ગ્રોસરી લઈને આવી તો શરીફે દસ ડોલરનો હિસાબ અને બિલની સાથે કિંમત જોઈને ગણતરી કરી. હું પૈસા બરાબર લઇ આવી હતી. શરીફે મને શાબાશી આપી અને કહ્યું,” આ તારું પહેલું લેસન હતું. અહીંના પૈસાની જાણકારી રાખવી જરૂરી છે, હું ના હોઉં તો તું આટલું તો હેન્ડલ કરી શકે.” ત્યારે ફક્ત દસ ડોલરમાં આટલી બધી વસ્તુ આવતી હતી. અને હવે આટલી ગ્રોસરી માટે પચાસ ડોલર પણ ઓછાં પડે.
એક દિવસ ફ્રેડ અને મરીન અમારે ઘરે આવી ગયાં. ત્યારે સેલફોનનો જમાનો ના હતો,પણ લેન્ડલાઈન હતી. ફ્રેડે શરીફને કહ્યું કે ચાલો આપણે બાનુ ને ડાઉન ટાઉન શિકાગો જોવા લઇ જઈએ. અમે ફ્રેડની કારમાં શિકાગો ડાઉન ટાઉનમાં ખૂબ ફર્યા. ફ્રેડ અમને સરસ રેસ્ટોરન્ટમાં જમવા લઇ ગયો. હું ખૂબ શરમાતી અને અચકાતી હતી. કારણકે ઈંગ્લીશ બોલવું મારા માટે ખૂબ અઘરું હતું. અને ફ્રેડ અને મરીન કાંઈ પૂછે તો એના જવાબ આપી શકતી નહોતી. પણ એ એ દિવસે શિકાગો મને એટલું બધું સુંદર લાગેલું કે મને થયું કે જો જન્નત છે તો અહીં જ છે. ઊંચી ઊંચી કાચની બિલ્ડીંગ્સ, પહોળાં રસ્તાં. લેઈક મિશિગન જોઈને મને મહુવાનો દરિયો સાંભરી આવ્યો. શિકાગોની સ્કાય લાઈન! ઉફ શિકાગો ની બ્યુટી! આજ સુધી એ કાર રાઈડ હું ભૂલી નથી. હજુ સુધી શિકાગોની એ સુંદરતાનું પિક્ચર મારા હૃદયમાં બેઠેલું છે.શિકાગો નો નજારો દરેક ઋતુમાં રોમાંચક હોય છે.
कभी हरी चादर, कभी सफेद ,तो कभी पीली
ए जमीं तेरा क्या खूब नजारा है इस शहरमे!એક મહિનામાં તો અમે અમે જૂની ઇમ્પાલા કાર ખરીદી. જે ફક્ત અમને અઢીસો ડોલરમાં મળેલી. સરસ કન્ડિશનમાં હતી. શરીફે એમાં ડ્રાઇવિંગ શીખી લીધું. આમ તો એ ભારતથી ડ્રાઇવિંગ શીખીને આવેલો. પણ ડાબી સાઈડ અને જમણી સાઈડના ભેદને લીધે અહીં ફરીવાર શીખવું પડ્યું. હવે શરીફ અને શંકરભાઇ બંને સાંજની શિફ્ટમાં કામ કરે એટલે હું અને શાંતિભાભી એકલા પડીએ. બ્લેક એન્ડ વાઈટ ટીવી જોઈએ. હું શરીફ પાસે જીદ કરવા લાગી કે મારે જોબ કરવી છે. ત્યારે ડિવોન એવન્યુ એટલું વિકસેલું ના હતું. બે કે ત્રણ ભારતીય સ્ટોર હતા. જેમાં ઇન્ડિયા સારી પેલેસ પણ હતું. એક દિવસ શરીફ મને સાડી અપાવવા ત્યાં લઇ ગયો. ત્યાંના મેનેજર પંજાબી હતા. મેં એમને પૂછ્યું,” આપની પાસે સેલ્સ ગર્લની જોબ છે?” એમણે હા પાડી. અને મને ત્યાં ને ત્યાં હાયર કરી લીધી. હું ત્યાં જોબ કરવા લાગી. મારે ઘરેથી બસ લઈને આવવું પડતું. યુવાની હતી , જોશ પણ હતો. ઠંડી કે ગરમી હું બસમાં ચડી જતી. અહીં મારે ઘણાં લોકોની ઓળખાણ પણ થઇ. એ સિવાય બોલીવુડના હીરો અને હીરોઇન્સ સાડી લેવા આવે એટલે સેલિબ્રિટી સાથે મુલાકાત પણ થતી. મેં છ મહિના ત્યાં જોબ કરી. પણ મારો પે ખૂબ ઓછો હતો અને મજૂરી ખૂબ કરાવે!
મેં શરીફને કહ્યું કે એની કંપનીમાં જોબ અપાવે દે, શરીફ ના પાડે કે તું આ કામ નહિ કરી શકે, પણ મેં જીદ ના છોડી! અંતે શરીફે એના બોસ મિસ્ટર મરફીને વાત કરી. એ ભલા માણસે મને જોબ આપી દીધી. આમ તો એક કુટુંબના બે માણસોને જોબ આપતા ના હતા, પણ શરીફનું માન ખૂબ હોવાથી મને જોબ મળી ગઈ. ચાર ડોલર કલાકના મળતાં હતાં . હું મશીન ઓપરેટર તરીકે કામ કરતી હતી. પાર્ટ ઉપર થ્રેડ બનાવવાના, હોલ બનાવવાના! આ કામ મોટાં મોટાં મશીન પર થતાં. મારી કૂણી અને નાજુક આંગળીઓમાં લોખંડ અને પિત્તળની ચિપ્સ ઘૂસી જતી અને હું રાતે પ્લકર લઈને આંગળીમાંથી એ ચિપ્સ ખેંચી કાઢતી. અમેરિકા ફક્ત સુખ અને સાહ્યબી જ નથી પણ તકલીફનો સામનો પણ કરવો પડે છે. જીવનમાં મુશ્કેલીઓ પણ વેઠવી પડે છે. કોઈએ નથી કહ્યું કે જીવન ગુલાબની શૈયા છે . એમાં કાંટા પણ હોય છે. ભારતીયને જો એમ લાગતું હોય કે ડોલર ઝાડ પર ઉગે છે અને તોડી લેવાના છે તો એવું નથી! શરીફ મને શા માટે આ જોબ માટે ના કહેતો હતો તે મને સમજ પડી ગઈ! હું અને શરીફ સાથે જ જોબ પર જતાં , સાથે લંચ લેતાં, સાથે અમારી ઇમ્પાલામાં ઘરે આવતાં. શરીફે મને લર્નિગ લાયસન્સ પણ લઇ આપેલું. અમે રાતે દસ વાગે જોબ પરથી છૂટતાં, તે સમયે રાતે દસ વાગે રસ્તાં સૂમસામ રહેતાં . ત્યારે આટલો બધો ટ્રાફીક પણ નહોતો. એટલે શરીફ મને ઇમ્પાલા ચલાવવા આપે. અને હું એમ કરતા ડ્રાઇવિંગ શીખી ગઈ. શરીફના સાથને લીધે એ દિવસો પણ યાદગાર બની ગયાં. “તું જહાં જહાં ચલેગા મેરા સાયા સાથ હોગા!”
છ મહિના અમે શંકરભાઇ સાથે આલ્બનીના એપાર્ટમેન્ટમાં રહ્યાં, પછી અમે અમારું એપાર્ટમેન્ટ શોધવાં લાગ્યાં . મોઝાર્ટ પર મગનભાઈની મલ્ટી સ્ટોરી બિલ્ડીંગ હતી. અમે એમાં એક બેડરૂમનું એપાર્ટમેન્ટ ભાડે રાખી લીધું. 175 ડોલર ભાડું હતું. શંકરભાઇ અને ભાભી ખૂબ પ્રેમાળ હતા. પણ તો પણ મારે અલગ રહેવું હતું. 1979 માં અમે મોઝાર્ટ પર રહેવા આવી ગયાં. બસ ત્યારે અમારું ફોક્સ ફક્ત પૈસા કમાવાનું હતું. શરીફની ઈચ્છા હતી કે 20 લાખ રૂપિયા ભેગા થાય તો વતનમાં પાછું જવું. જિંદગીની રફ્તાર ટ્રેનના પાટા પર ટ્રેન ચાલે એવી વેગે ચાલી રહી હતી. શરીફ મને ખૂબ સારી રીતે સાચવતો હતો કારણકે એ એવું સમજતો હતો કે અહીંયા મારું કોઈ નહોતું અને હું વતન છોડીને એની પાછળ પાછળ આવી હતી. શિકાગોની ઠંડીનું વર્ણન કરવું આવશ્યક છે. શિકાગોની ઠંડીમાં જો ઉકળતું પાણી હવામાં ફેંકવામાં આવે તો બરફના ટુકડાં થઈને જમીન પર પડે. આવી ઠંડીમાં હું પગમાં સ્લીપર પહેરીને નીચે લોન્ડરી કરવા ગઈ. લોન્ડરી બેઝમેન્ટમા હોવાથી દાદર બહારની સાઈડ હતો, જેમાં બરફ જામેલો હતો.શરીફે આ વાત તરત મારા પપ્પાને લખી નાખી. પપ્પાએ મારા પર ગુસ્સો કર્યો અને કહ્યું “શરીફભાઇ કહે તેમ કરો.” આ પ્રસંગ મને યાદ રહી ગયો કારણકે શરીફ મારી હદથી વધારે કાળજી રાખતો હતો. શિકાગોમાં બરફ ખૂબ પડે, સવારે ઉઠ્યા હોઈએ ત્યારે આઠ દસ ઇંચ બરફ પડી ગયો હોય. સવારે જોબ પર જવાનું હોય સ્ટ્રીટમાં પાર્ક કરેલી ઇમ્પાલાને કાઢતા અડધી કલાક લાગી જાય! બરફ ખસેડીએ, કાર સાફ કરીએ, અને ધક્કા મારીને કાર કાઢીએ! ત્યારે જોબ પર પહોંચીએ! પણ એ દિવસોની મજા કૈક ઔર હતી.
અમેરિકામાં સંઘર્ષ!
અમારા લગ્નને ત્રણ વર્ષ થઇ ગયા હતા. અમારી જોબ પણ સારી ચાલતી હતી પણ શરીફને આ જોબ કાયમ નહોતી કરવાની. તેથી એને ફાર્મસીનો અભ્યાસ કરવાનો ચાલુ કર્યો અને ફ્રેડને ત્યાં વૉલીનટીયર તરીકે કામ પણ ચાલુ રાખ્યું. એના ઇન્ટરશીપના ૩૦૦૦ કલાક પૂરાં થવાં આવ્યાં હતાં. આ સમય દરિમયાન અમને ઉસ્માનભાઈ મળી ગયા. ઉસ્માનભાઈનું ટુ સ્ટોરી મકાન હતું. જેમાં ઉપરના ફ્લોરને એમને ભાડે આપવો હતો. આમ એપાર્ટમેન્ટ હતું, પણ સગવડતા બધી હાઉસ જેવી હતી. મોઝાર્ટની લીઝ અમારી પૂરી થતી હતી. તેથી અમે ઉસ્માનભાઈના એપાર્ટમેન્ટમાં જવાનું નક્કી કર્યું. ઉસ્માનભાઈ અને મહેરુનબેન ખૂબ પ્રેમાળ હતા. અમને ઘરના સભ્યોની જેમ ટ્રીટ કરતા હતા. આ એપાર્ટમેન્ટ ફ્રાન્સિસકો એવન્યુ પર હતું.
શિકાગોનો એક હ્રદયદ્રાવક પ્રસંગ યાદ આવી ગયો.શરીફની કૉલેજના એક મિત્ર યુસુફભાઇ વોહરા શિકાગો સાઉથ સાઈડમાં જોબ કરતા હતા. 1979 માં એમને પાંચ ડોલર માટે એક આફ્રિકન અમેરિકને ગોળીઓ મારી. જખ્મી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યા. બે મહિના એમને હોસ્પિટલમાં રહેવું પડ્યું. પછી અમે એમને અમારે ઘરે લઈ આવ્યા. અમે એમની ખૂબ સેવા કરી એમને ફરી જીવન તરફ વાળ્યાં. એમણે મને બહેન માની હજુ સુધી એ સંબંધ જાળવી રાખ્યો છે. લાગણીના સબંધ એવી વેલ જેવા છે જે કદી સુકાતાં નથી!
શરીફે હવે દિલથી ફાર્મસીની જોબ શોધવાનું ચાલુ કર્યું અને નસીબથી અમારા ઘરની નજીક જ એને એક પ્રાઇવેટ ફાર્મસીમાં જોબ મળી ગઈ. ફાર્મસીનું નામ હતું, ગોલ્ડનરુલ ફાર્મસી. ફાર્મસીના ઓનર નેથન પોટકિન્સ અને નાન્સી પોટકિન્સ હતું. નેથન વર્ષોથી ફાર્માસીસ્ટ હતા અને અને એમણે ડેન્ટિસ્ટની ડિગ્રી પણ લીધેલી તેથી એમને ફાર્મસી સંભાળવા એક ફાર્મસી ટેક્નિશ્યન ની જરૂરત હતી. ફાર્મસી ફક્ત નસિંગહોમના પ્રિસ્ક્રિપશન ભરતી હતી. એટલે શરીફ બધી દવાઓ ભરીને રાખે, મી. પોટકિન્સ સાંજે આવી બધી દવા તપાસીને નર્સિંગહોમમાં મોકલી આપે. શરીફને પણ આ જોબમાં મજા આવી ગઈ. મી. પોટકિન્સે શરીફને કાર પણ આપેલી. અને ઘરની નજીક વળી ફાર્મસીનો અનુભવ પણ મળી રહ્યો હતો. નાન્સી મારી ‘ગોડ મધર’ બની ગયાં હતાં . એ અમને એમના ઘરે પણ બોલાવતાં . એમના સ્વિમિંગ પુલમાં નહાવાં પડતાં, બાર્બેક્યૂ કરતાં અને ખૂબ મજા કરતાં. પ્રેમ મેળવવા માટે પ્રેમાળ હૃદય જોઈએ.
શરીફે ફાર્મસીની એક્ઝામ આપવા માટે તૈયારી કરી દીધી. પણ પહેલી વાર એ ફેઈલ થઇ ગયો. પણ એક ફાયદો થયો, એમને હેમંત વોરા જેવા મિત્ર મળી ગયા. અમે વિજાપુરા અને હેમંત વોરા એટલે શરીફ અને હેમંતભાઈનો નંબર એક બેન્ચ પર આવેલો. અને હેમંતભાઈના મમ્મી મહુવાનાં એટલે અમારે સરસ મિત્રતા બંધાઈ ગઈ. અને હેમંતભાઈને મેં રાખડી બાંધી સ્નેહના ધાગાથી બાંધી લીધાં. હજુ પણ હેમંતભાઈ સાથે એવોજ સ્નેહનો સંબંધ છે. બાનું અવસાન 2015માં ૩ જૂનના દિવસે થયું હતું.
બીજી વખતે શરીફે અને હેમંતભાઇએ મળીને સ્ટડી કર્યો અને બંનેએ ફાર્મસી ની એક્ઝામ 1981 માં પાસ કરી દીધી. પપ્પા પણ ભારત આવવા માટે આગ્રહ કરતાં હતાં. શરીફને પણ મા યાદ આવેલા! શરીફે તો ગુલ્ડ કંપની ક્યારની છોડી દીધી હતી. અમે ભારત જવાનું નક્કી કર્યું અને અમારી ફલાઇટ રવિવારની હતી અને કંપનીએ મને શુક્રવારે લેઈડ ઓફ આપી દીધો. હું ઘરે આવી એટલે હું અને શરીફ તરત અનએમ્પ્લોયમેન્ટ ઓફિસમાં જઈને ફાઈલ કરી આવ્યા કે મને લેઈડ ઓફ મળ્યો છે. અને અમે ભારત જઈએ છીએ એ પણ જણાવ્યું. અમે ભારતથી આવ્યા એટલે તરત મને અનએમ્પ્લોયમેન્ટ ના પૈસા મળવાં લાગ્યાં. શરીફ એક ડૉક્ટર ની ઓફિસ મિશિગન ગાર્ફીલ્ડ ફાર્મસીમાં કામ કરવા લાગયો. ત્યાં બે ડૉક્ટર કામ કરતાં હતાં. ડૉક્ટર સ્મિતા શાહ, અને ડૉક્ટર શાહિદ અન્સારી. ઓનર ડૉક્ટર અન્સારી હતા. શરીફે થોડો સમય ત્યાં કામ કર્યું, ડૉકટર અન્સારી ને શરીફ ગમી ગયો અને એને ફાર્મસી શરીફને વેચવાનું નક્કી કર્યું. આમ શરીફ ફાર્મસીનો ઓનર બની ગયો. હું તો જોબલૅસ હતી, તેથી મેં ફાર્મસી ટેક્નિશ્યનનું લાયસન્સ લઇ લીધું અને હું શરીફની ટેક્નિશ્યન બની ગઈ. ધંધો જોરદાર ચાલતો હતો. ત્યારે ગવેર્નમેન્ટ પબ્લિક એઇડ લેવાવાળાને દવાના ખૂબ પૈસા આપતી હતી. શિકાગોમાં શરીફનો આખો કલાસ સેટલ્ડ થયેલો. ઘણીવાર દિવાળી પાર્ટીમાં આખો કલાસ ભેગો થાય. શરીફના કલાસે ફાર્મસી એશોશિયન બનાવેલું. એને ઘણા મિત્રો ફાર્મસી બોર્ડમાં મોટા મોટા હોદ્દા પર પહોંચી ગયાં હતાં. કલાસમાં સંપ ખૂબ હતો. એકબીજાને જોબ અને ધંધા માટે મદદ કરતાં . આમ એક મીની ભારત શિકાગોમાં વસી ગયું હતું.
ઝિલમિલ સિતારોંકા આંગન હોગા, રીમઝીમ બરસાતા સાવન હોગા! આ સુંદર સપનું પૂરું થયું, અમે 1982માં સ્કૉકીમાં ઘર ખરીદ્યું. આ અમારું બંનેનું એકસાથે પહેલું ઘર હતું જે અમારું પોતાનું હતું. જિંદગી સપના જેવી સુંદર વીતી રહી હતી, પણ એક ખોટ હતી. સંતાનની ! અમારા લગ્નને સાત વર્ષ થવા આવ્યા હતા. અલ્લાહે અમને ઔલાદ આપી ના હતી. મારી નાની બહેન બશીરાના લગ્ન 1981 માં થયા, અને નવ મહિનામાં સમાચાર આવ્યા કે એને દીકરો થયો છે. આ સમાચાર મારી છાતીની આરપાર તીરની માફક ઉતરી ગયા. એ દિવસે હું ખૂબ રડી હતી. એટલાં માટે નહીં કે મારી બહેનની મને ઈર્ષા હતી. પણ અલ્લાહે મારી ગોદ શા માટે ખાલી રાખી! અલ્લાહ પાસે ખૂબ ફરિયાદ કરી! બધા ભાઈ બહેનોને ઘરે ત્રણ ત્રણ સંતાન થયા હતા મારા સિવાય! અલ્લાહે મારી ઝોળી કેમ ખાલી રાખી! ત્યારબાદ કોઈપણ ના પ્રેગ્નેટ હોવાના સમાચાર આવતા તો મારા ગળે ડૂમો બાઝી જતો. ડૂસકાંઓ હૃદયમાં અટવાઈ જતા. અમે ઘણાં ડોક્ટરને બતાવ્યું, પણ કોઈ દોષ નજર આવતો ના હતો. બસ સમય લાગી રહ્યો હતો.
ડૉક્ટર અન્સારી પોતાની ક્લિનિક વેચીને હોસ્પિટલમાં જતા રહ્યા. આ ક્લિનિક ડૉક્ટર શાહે ખરીદી લીધી. ડોક્ટર અન્સારીના ગયા પછી શરીફનું દિલ આ ધંધા પરથી ઉતરી ગયું. અમારે હજ કરવા પણ જવું હતું. અમે હેમંત વોરાને ફાર્મસી ચલાવવા આપી અને હજ કરીને ભારત ગયાં. હજમા સંતાન માટે ખૂબ દુઆ કરી. ઉપરવાળાંને ત્યાં દેર છે અંધેર નથી એ વિશ્વાસ હતો. ભારત પહોંચ્યાં પછી શરીફને પાછું અમેરિકા આવવાનું મન ના હતું. પણ 1984 માં અમે પાછાં અમેરિકા આવ્યાં. હેમંત વોરાને ફાર્મસી વેચીને ફરી ભારત તરફ પ્રયાણ કર્યું. મા પાસે રહ્યાં . અમે ગાંધીનગર યુસુફભાઇ સાથે રહેવા લાગ્યાં. અમારી પોતાની કહી શકાય એવી કોઈ જગ્યા ના હતી. આમ બીજાના ઉપર ભારરૂપ થઈને રહેવાનું દિલમાં ખટકતું હતું. ગામમાં મકાન હતું પણ ગામમાં રહીને શું કરીએ? કોઈ કામકાજ તો શોધવું પડે એમ હતું. અમે 1985માં ભારત ગયાં ત્યારે અમાનતનું આંદોલન ચાલતું હતું. મોટે ભાગે કર્ફયુ અને ગુજરાત બંધના એલાન થતા હતા. શરીફ પાસે સિટીજનશિપ હતી. પણ મારી પાસે ગ્રીનકાર્ડ હતું, જે અગ્યાર મહિને રીન્યુ કરાવવું પડતું. એટલે શરીફે મને એકલીને અમેરિકા મોકલી આપી.
હિંમતે મર્દા ,તો મદદે ખુદા!
આ વખતે હું હિંમત કરીને અમેરિકા આવી ગઈ. શરીફ ભારતમાં હતો તે છતાં!! કારણકે અહીં હવે ઘણાં મિત્રો બની ગયા હતા. અને જે લગ્ન પહેલાની બાનુમા હતી એ બાનુમા હવે હું નહોતી. અમેરિકાએ બીજી ઘણી વસ્તુ સાથે હિંમત પણ આપી હતી. અને શરીફે મને જમાના સામે ઊભી રહેતા શીખવાડી દીધું હતું. હું મિત્રોની સાથે રહી. મેં અમેરિકા આવીને શરીફને કોલ કર્યો કે અમેરિકામાં ફાર્મસીની જોબ ખૂબ મળે છે. ભારતમાં તો આપણાં નસીબ ના ખૂલ્યાં, તું અહીં આવી જા. આમ પણ મને ભારતમાં મજા નહોતી આવતી.પોતાના ઘર વગર જાણે બીજાને બોજારૂપ હોઈએ એવું લાગતું હતું. ભલે એ લોકો અમને ખૂબ સારી રીતે રાખતાં હતાં. શરીફ ફરી અમેરિકા આવી ગયો. અમાનતના આંદોલનથી જે સેટલમેન્ટ ગવર્નમન્ટ એ કર્યું હતું એનો અમલ ગવર્નમેન્ટ કરી શકી ના હતી. ત્યારે શરીફને લાગેલું કે પોતે કરેલા વાયદા પાળી શકતી નથી એવી સરકારનો કેટલો ભરોસો કરાય?
અમેરિકા ઓપોર્ચ્યુનિટી નો દેશ છે એમાં કોઈ વિવાદ નથી. સરકાર તરફથી સલામતી પણ છે. સોશિયલ દબાણ પણ નથી. આ દેશમાં તમને જો સંતાન નહિ હોય તો કોઈ મેણાં તો નહીંજ મારે કદાચ સહાનુભૂતિ વ્યકત કરશે. અને સંતાન નથી તે માટે ફક્ત સ્ત્રીને જ દોષી નહીં માને. ભારતમાં પ્રેમ, લાગણી અને સંબંધની મીઠાશ છે. પણ ઘણીવાર લોકો તમારી પર્સનલ વાતને પબ્લિક ઇસ્યુ બનાવી દેતા હોય છે.
1986 માં શરીફે રિટેઇલ ફાર્મસીમાં જોબ કરી અમે બે મહિના મુસબજી મિયાજીના એપાર્ટમેન્ટમાં રહ્યાં કારણકે એ લોકો ભારત જતાં હતાં. 1987માં શરીફે ડોલટન મેડિકલ સેન્ટરમાં જોબ ચાલુ કરી. તે ભરત આચાર્યની ફાર્મસી હતી. એક દિવસે એ ફાર્મસીનો ધંધો બંધ કરીને જતો રહ્યો. ડૉકટર દવે એ શરીફને એ ફાર્મસી આપી દીધી. મેં વોલ્ટ ગ્રોસરી સ્ટોરમાં કેશિયરની જોબ સ્વીકારી લીધી હતી.
1988 માં બશીરાનો ફ્રાન્સથી ફોન આવ્યો કે એ લોકો અમેરિકા ફરવા આવે છે. હું ખૂબ ખુશ થઇ ગઈ. મારા ઘરની પહેલી વ્યક્તિ હતી જે પહેલીવાર મારે ઘરે અમેરિકા આવતી હતી. ત્યાં સુધીમાં બશીરાને ત્રણ બાળકો થઇ ગયાં હતાં. અકીલ, સુકેના અને અબ્બાસ. બશીરા અને શબ્બીરભાઈ પોતાના ત્રણ બાળકો સાથે અમેરિકા આવી ગયાં. અમારી પાસે બે બેડરૂમનું એપાર્ટમેન્ટ હતું. એ લોકો પાંચ જણા એક રૂમમાં સૂઈ જતાં અને અમે એક રૂમમાં! ઘર અમારું નાનું પણ દિલ મોટું હતું અને પ્રેમ એના કરતા પણ મોટો હતો તેથી સાત જણા સમાઈ ગયાં. બશીરાને અમે કેનેડા અને સેન્ટ લૂઇસ ફરવાં પણ લઇ ગયાં. અમેરિકામાં પણ ખૂબ ફેરવી. બશીરા અને એની ફેમેલી બે મહિના અમેરિકા રહ્યાં.
અમારી ટ્રીટમેન્ટ ચાલતી રહી હજુ અમે સંતાનની આશા છોડી ના હતી. ઈશ્વરને જો બાળક આપવું હોય તો મોટી ઉંમરે પણ આપે છે. 1989 માં અમે ફાર્મસી મુસબજીને વેચી નાખી અને શરીફે રોઝલેન્ડ હોસ્પિટલમાં જોબ લઇ લીધી. સાથે સાથે વોલગ્રીનમાં જોબ લીધી હવે શરીફ બે જોબ કરતો હતો. શરીફને વોલગ્રીનમાં ફાર્મસી મેનેજર બનાવી દીધો. શરીફે હંમેશા મને નવું ઘર અપાવ્યું છે. અમે ટીનલી પાર્કમાં ઘર શોધતા હતા અને અમને એક મોડેલ હોમ મળી ગયું. એ જમાનામાં ચાર બેડરૂમ , ત્રણ બાથ , લિવિંગ રૂમ , ફેમેલી રૂમ, કિચન ડાઇનિંગ રૂમ અને ફૂલ બેઝમેન્ટ વાળું બ્રાન્ડ ન્યુ ઘર અમને ખાલી 180,000 માં મળ્યું હતું. સુંદર લેઆઉટ અને સરસ એરિયા. ૧૯૮૯માં આ મકાનમાં રહેવાં આવ્યાં મેં બાજુના ઓમની સ્ટોરમાં કેશિયર તરીકેની જોબ સ્વીકારી લીધી.
એક ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ સાથે અમારી ટ્રીટમેન્ટ ચાલુ હતી. 1989 નવેમ્બર મહિનામાં મેં પ્રેગ્નેસી ટેસ્ટ કર્યો અને પોઝેટીવ હતો. હું તો નાચી ઉઠી! અલ્લાહ તારો શુકર! હું અને શરીફ સજદામાં પડી ગયાં . અલ્લાહે અમારી દુઆ સાંભળી હતી. હવે મારા આંગણમાં પણ કોઈ પાપા પગલી કરશે ! દીકરો કે દીકરી ગમે તે હોય એ મારી આંખનો સિતારો બની જશે! ચારે તરફ ખુશી જ ખુશી હશે! “જીવનકી બગિયા મ્હેકેગી .લહેકેગી ચહેંકેગી , ખુશીયોંકી કલીયા જૂમેગી જૂલેગી ફૂલેગી!”આટલા વર્ષની સબરનો બદલો મળ્યો હતો. ત્યારે મારી ઉંમર સાડત્રીશ વર્ષની હતી. લગ્નને તેર વર્ષ થયા હતા. ઘણાં વરસો મેં રડી રડીને કાઢ્યાં , શરીફના પ્રેમે મને જીવતી રાખી હતી. પણ અમે બંને એટલા ઉત્સાહમાં આવી ગયાં કે ભારત જવાનું નક્કી કરી નાખ્યું. જાન્યુઆરી મહિનામાં અમે ભારત જવાં ઉપડયાં ત્યારે અમને ખબર ના હતી કે અમારું શું થવાનું હતું!
મુંબઈ પહોંચી ગયાં. એક મિત્રને ત્યાં દાવત ખાવા જવાનું થયું. ત્યાંથી આવ્યાં, મને બ્લીડીંગ ચાલુ થઇ ગયું. મારી બહેન માસુમાએ તરત ડોક્ટર ગુલરાજાનીને કોલ કર્યો. બ્લીડીંગ બંધ જ થતું ના હતું. મારી આંખમાંથી આંસુ દડી રહ્યાં હતા. મારા બાળકને કોઈપણ રીતે બચાવવું હતું. ડોક્ટર ગુલરાજાનીએ એમની હોસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું. હું હોસ્પિટલમાં દાખલ થઇ ગઈ.શરીફને દવાની જાણકારી એટલે બધી દવા એ વાંચે કે કઈ છે. દવાની સાઈડ ઇફેક્ટ પણ એને ખબર હોય. એને ચિંતા થવા લાગી કે ખબર નહીં આ ડોક્ટર કેમ આવી દવા આપતી હશે? પણ ગુલરાજાની એક પણ વાત ના માની અને દવા કરતી રહી. અને મારો ગર્ભ ટકી ગયો. વીશ દિવસે હું ઘરે આવી. ડોકટરે ગામમાં જવાની તેમજ મુસાફરી કરવાની ના પાડી. અમેરિકા આવવાની પણ રજા જો એને યોગ્ય લાગે તો જ આપશે એવું કહ્યું. હું માસુમાને ઘરે રોકાઈ ગઈ. માસુમાએ મારી ખૂબ સેવા કરી મને પથારીમાંથી ઊભી ના થવા દીધી. બે મહિના થઇ ગયાં. હું ઇલોલ ના ગઈ, હું મહુવા ના ગઈ. બધાં મને મળવાં મુંબઈ આવ્યા. બા બિચારા અસ્થમાના પેશન્ટ પણ બોમ્બે આવી ગયાં. મારા નણંદ અને નણંદોઈ પણ બોમ્બે આવી ગયાં. બે મહિના પછી ગુલરાજાનીએ અમેરિકા આવવાની રજા આપી. હું ગુલરાજાનીનો જેટલો એહસાન માનું, તેમજ માસુમા અને ગુલામઅબ્બાસનો જેટલો એહસાન માનું એટલો ઓછો. એ લોકોની મહેનતથી શબ્બીરને બચાવી શકી. અને નિરાશામાંથી બહાર આવી શકી.
અમેરિકા આવી મેં ડોક્ટરની સૂચનાથી બેડરેસ્ટ કર્યો. જુલાઈ ૩૧, ૧૯૯૦ ના દિવસે સવારે મને લેબરપેઈન ચાલુ થયું. શરીફ વોલગ્રીનમાં જોબ કરતો હતો અને સવારે એને સ્ટોર ખોલવાનો હતો એટલે એ મારી સાથે હોસ્પિટલ આવી ના શક્યો. મારી મિત્ર મને હોસ્પિટલ લઇ ગઈ. સાંજના ચાર વાગ્યા સુધી શબ્બીરનો જન્મ ના થયો, પછી ડોકટર હેડવેંગીએ સર્જરી કરવાનું નક્કી કર્યું. શરીફ હજુ સુધી આવ્યો ના હતો તેથી મારે જ નિર્ણય લેવો પડ્યો. નર્સ મને ઓપરેશન થિયેટરમાં લઈ જતી હતી, એટલામાં શરીફ આવી ગયો. સાંજનાં ૪.૩૧એ નર્સે મારા હાથમાં શબ્બીરને આપ્યો! ઓહ અલ્લાહ! આનાથી સુંદર કોઈ ચીજ નથી. કેવો સુંદર ! કેવો મીઠો! જાણે કોઈએ ચાંદને મારા હાથમાં મૂકી દીધો. મારી તથા શરીફની આંખો ખુશીથી છલકાઈ ગઈ! અત્યારે મારો શબ્બીર ૩૧ વરસનો થઇ ગયો છે, એને ફાતિમા સાથે લગ્ન કર્યા છે અને એના ઘરે પણ દીકરો આવ્યો છે જેનું નામ ઇહાન છે ઇહાન નો અર્થ શરદપૂનમ છે. જેને અમારા જીવનમાં ચંદ્ર જેવું નૂર ફેલાવી દીધું છે. ફરી એકવાર અલ્લાહે મારા હાથમાં ચાંદ મૂકી દીધો છે!
મેરા રાજદુલારા,
વોહ જીવન પ્રાણ હમારા દિનકા વોહ સૂરજ હૈ રાતોકા ચાંદ સિતારા ,થોડાં હમારાં થોડાં તુમ્હારા આયા ફિરસે બચપન હમારાં! શબ્બીરે અમારાં જીવનમાં નવા રંગ ભરી દીધા! એના જન્મ પછી મેં જોબ કરી નહિ. પણ શરીફ ત્રણ જોબ કરતો હતો. શબ્બીર મને મા કહીને બોલાવે છે. એ બે વર્ષનો થયો એટલે અમે એક ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર ખરીદ્યો. એમ કહું તો ચાલે કે ખરીદવો પડ્યો. અમે એ સ્ટોર ભારતથી આવતા અમારા એક નજીકના મિત્રના જમાઈ માટે લીધેલો. એમને વિઝા માટે એપ્લાય કરેલું અને આવીને ગ્રોસરી સ્ટોર સંભાળશે એવું નક્કી થયું હતું. પણ એમને વિઝા મળી નહિ. એટલે સ્ટોર મારે સંભળવો પડ્યો. પણ મેં એમ્પ્લોયી રાખેલો.એનું નામ રઝાક હતું. એ પ્રમાણિકતાથી સ્ટોર સંભાળતો હતો હું શબ્બીરને કારમાં બેસાડી સામાન લેવા જતી. જેમકે વેજીટેબલ્સ , મૂવીની વિડિઓ કેસેટ , સમોસા ખમણ વિગેરે. એક દિવસ તો ટાયર ફ્લેટ થઇ ગયું હતું. હાઇવે પર એક દેવદૂત જેવા મેક્સિકને ટાયર બદલી લીધું, મેં એને દસ ડોલર આપવા પ્રયત્ન કર્યો, તો મને કહે, “તું ‘ગોડ’માં માને છે?” મેં હા કહ્યું, તો કહે ,” બસ અમારા માટે દુઆ કરજે! “ગરીબ લોકોમાં પણ કેટલી દયા , કરુણા અને ખુદ્દારી હોય છે! અને એકવાર ડિવોનથી આવતા ખૂબ વરસાદને લીધે બધે પાણી ભરાઈ ગયેલા. આમ તો મારા ઘરથી ડિવોન 45 મિનિટ્સ નું ડ્રાઈવ હતું, તે દિવસે હું શબ્બીરને લઈને પાંચ કલાકે ઘરે પહોંચી. શબ્બીર મારો ખૂબ ધીરજવાળો હતો. દૂધની બોટલ પણ ખલાસ થઇ ગયેલી અને પાણી પણ ના હતું! ત્યારે કારમાં જી.પી.એસ પણ ના હતા. સેલ ફોન પણ નહીં !પણ અલ્લાહની મહેરબાનીથી પાંચ કલાકે ઘરે પહોંચી ગઈ. મેં એ સ્ટોર બે વર્ષ ચલાવ્યો. પછી વેચી નાખ્યો.
૧૯૯૪ માં મારા વચેટ જેઠનો વિઝાકોલ આવી ગયો. શરીફને ખબર હતી કે મારા જેઠની ઉંમર થઇ ગઈ હોવાથી એ ક્યાંય ઓડ જોબ નહિ કરી શકે! એમણે ડિપ્લોમા ફાર્મસી કરેલું હતું. શરીફે એ લોકોને સેટ કરવા માટે એટલાન્ટામાં બે હોટલમાં પાર્ટનરશીપ રાખી. પાર્ટનર અમારા મિત્ર જ હતા. શરત એટલી રાખી કે તમારે અમારા ભાઈ ભારતથી આવે એટલે એમને જોબ આપવાની. મિત્ર કબૂલ થઇ ગયા. યુસુફભાઇ, ઝોહરાભાભી અને આબીદ અમેરિકા આવી ગયાં . એમનો મોટો દીકરો તાહિર 21 વરસનો થઇ ગયો હતો તેથી તેને વિઝા ના મળી. અમે એમને એટલાન્ટા ડ્રાઈવ કરીને લઇ ગયાં . એટલાન્ટા ટીનલી પાર્કથી દસ કલાકનું ડ્રાઈવ થાય. શબ્બીર ત્યારે ચાર વરસનો હતો. શરીફ મૂકીને ફ્લાય કરીને ટીનલી પાર્ક પાછો ગયો. હું એમની સાથે રોકાઈ. હોટલમાં એપાર્ટમેન્ટ હતું તેમાં તેમને રહેવાનું હતું. પણ ભારતમાં આરામની જિંદગી જીવેલા અને દિકરાથી કદી જુદાં થયેલાં નહીં તેથી મારા જેઠાણી તો રડ્યાં કરે, યુસુફભાઇ પણ બેચેન ફર્યા કરે. અઠવાડિયામાં એમણે નિર્ણંય લઇ લીધો કે એમણે અમેરિકા નહીં ફાવે. અમે એમને ત્રણ મહિના ફેરવી પરત ભારત મોકલી આપ્યા. એવી જ રીતે ત્રણ મહિનામાં બીજા જેઠ હાસમભાઇ મદિનાનાભાભી , મહંમદ અને નજમા આવ્યાં. એમના દીકરાને તો સ્કૂલમાં દાખલ કર્યો, દીકરીને પણ દાખલ કરી પણ એ લોકોને ભાષાનો મોટો પ્રોબ્લેમ લાગતો હતો. દીકરો તો સ્કૂલ જતા ગભરાતો હતો. અને એમને પણ ભારત જવાનું નક્કી કર્યું. આપણો દેશ સારો છે! એવું કહેવા લાગ્યાં. એ પણ ભારત પાછાં ફર્યા.
શબ્બીર ધીરે ધીરે મોટો થઇ રહ્યો હતો. એના શિક્ષણનું હું જ ધ્યાન રાખતી હતી. એને સન્ડે સ્કૂલમાં લઇ જતી હતી અને ઇસ્લામિક એડ્યુકેશન અપાવતી હતી. શરીફ વોલગ્રીન અને રોઝલેન્ડ હોસ્પિટલમાં બીઝી હતો. . સાથે સાથે સ્ટોક માર્કેટમાં પણ રસ લેતો હતો.૧૯૯૫ અને ૧૯૯૬ માં ઇન્ટરનેટ આવી ગયું. કોમ્પ્યુટરનું મહત્વ વધવા લાગ્યું. સોશિયલ મીડિયા ચાલુ થઇ ગયું. દુનિયા નાની બનતી ગઈ. પારકા પોતાના થઇ ગયાં અને પોતાના દૂર થતાં ગયાં. જિંદગીનું વહેણ બદલાઈ ગયું. દરેક વ્યક્તિ પોતાનામાં મસ્ત રહેવા લાગી. આ સમય દરમ્યાન ક્યારેક ક્યારેક અમે ભારતની મુલાકાત લઇ આવતાં હતાં. શબ્બીરને દેશનું વાતાવરણમળે, અને સગાંવહાલાંને ઓળખે તે માટે!
1999ની સાલમાં અચાનક મારા જેઠનો કોલ આવ્યો કે મા ગુજરી ગયાં. માને કોઈ બીમારી ના હતી. મા ખૂબ તંદુરસ્ત હતાં. ચોરાણું વર્ષની ઉમરે પણ કોઈપણ જાતની મેડિસિન લેતાં નહોતાં. એમણે આખી જિંદગી કામ ખૂબ કર્યું. ચોત્રીસ વર્ષની નાની ઉમરે પતિને ગુમાવ્યાં. આઠ બાળકોની જવાબદારી એમના પર આવી ગઈ. ખેતી સિવાય કોઈ આવકનું સાધન ના હતું. તેથી નસીરભાઇ જે થોડા મંદ બુદ્ધિના હતા એમને લઈને ખેતરમાં કાળી મજૂરી કરી અને બાળકોને ભણાવ્યાં. દીકરીઓના લગ્ન કર્યા. બધાં સંતાનોના લગ્ન કર્યા, પોતાના બાળકો માટે ખૂબ કુરબાની આપી હતી. ‘મધર ઇન્ડિયા ‘નું બિરુદ ખરેખર એમને મળવું જોઈતું હતું. એ મા દુનિયાથી ચાલ્યાં ગયાં હતાં. મેં શરીફની ટિકિટ બુક કરાવી અને એને કહ્યું નહીં કે મા આપણને છોડીને જતાં રહ્યાં છે. એમને પ્લેનમાં બેસાડી હું ખૂબ રડી પડી! મા એ મને પ્રેમ આદર, સન્માન બધું આપેલું. હું એમની ફેવરિટ દીકરાની વહુ હતી. હવે એમને હું કદી જોઈ નહિ શકું!
૨૦૦૦ની સાલમાં ભારતથી ભાઈનો કોલ આવ્યો કે બા સખત બીમાર રહે છે અને એમના છેલ્લાં દિવસો છે. તારે મળવું હોય તો આવી જા. હું જુલાઈ મહિનામાં શબ્બીર સાથે ભારત પહોંચી ગઈ. બાને જોઈને બાના ખોળામાં માથું રાખીને પોકે પોકે રડી પડી. બાને ઘણાં વર્ષે જોયાં હતાં. બા દસ વર્ષથી પથારીમાં હતાં. એ મોટાભાઈને ઘરે રહેતાં હતાં. બા જિંદગીભર શરીરે ભરાવદાર હતાં. પણ જ્યારે આ સમયે હું ભારત ગઈ તો બાની દુબળી કાયા અને ઢીલા ઢીલા કપડાં જોઈને મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ. “બા,બા તમારી આ હાલત શી રીતે થઇ?” બાની આંખોમાં કેટલાય કિસ્સા હતા. બા મૌન રહ્યાં. મારી હિંમત પણ ના હતી પૂછવાની! મારા સવાલનો બા પાસે જવાબ ના હતો. પણ જવાબ ની આશા પણ ના હતી. એ એક મહિનો બા સાથે સમય કાઢ્યો. પણ અમેરિકાએ મારી બા નો સાથ છીનવી લીધો હતો. આમ તો દીકરીના લગ્ન થાય એટલે માબાપનો સાથ છૂટી જતાં હોય છે. પણ નજીક હોય તો મુલાકાત થયાં કરે! મહિના પછી હું અમેરિકા પાછી આવી. બા ત્યારે જીવિત હતા. પણ એજ વર્ષે સપ્ટેમ્બરની ચોથી તારીખે બાના મૃત્યુના સમાચાર મળ્યા. અને એ દિવસથી માની દુઆ થી વંચિત થઇ ગઈ!
मां जबसे छोड गई है इस जहाँको
दामन और दिल दोनों महेरुम दुआसे रहेશબ્બીર દસ વર્ષનો થઇ ગયો હતો. પાંચમા ધોરણમાં આવી ગયો હતો. એટલે મેં એન.એલ .એસ. બી બેંકમાં કેશિયર તરીકેની જોબ લીધી હતી. 2000 થી મેં જોબ ચાલુ કરી હતી. શબ્બીરની સ્કૂલનો સમય આઠ વાગ્યાનો હતો હું પણ આઠ વાગે જોબ પર જવા નીકળતી અને શબ્બીરના આવવાનો સમય ત્રણ વાગ્યાનો હતો અને હું બે વાગે ઘરે આવી જતી. એટલે બધું સરસ ગોઠવાઈ ગયું હતું. આ બેંકમાં ઘણી ગોલમાલ ચાલતી હતી. એ જમાનામાં તમે જોબ પર પહોંચો એટલે કાર્ડ પંચ કરવાનું હોય. અહીં કાર્ડ પંચ કરીને સ્ટાફની ગોરી છોકરીઓ બહાર નીકળી જતી. પોતાના કામ પતાવીને શાંતિથી પાછી આવે. આના લીધે મારા પર કામનો બોજો વધી જાય. કોઈ કેશિયર હાજર ના હોય. કસ્ટમરની મોટી મોટી લાઈન થઇ જાય. હું રોજ શરીફને આવીને કકળાટ કરું. એક દિવસે શરીફે બેંકના સી ઈ ઓ ને નનામો લેટર લખી નાખ્યો કે આ બેંકમાં આવું બધું ચાલે છે. સીધો શક મારા પર આવ્યો કારણકે હું એ લોકો સાથે ભળેલી નહોતી. બેંક ચેતી ગઈ. સી ઈ ઓ એ મિટિંગ બોલાવી અને બ્રાન્ચ મેનેજર સાથે બાવીશ લોકોને ફાયર કર્યા. નવો સ્ટાફ આવી ગયો. અને નવી બ્રાન્ચ મેનેજર મેરિઓન આવી ગઈ. એ મને ખૂબ માન આપવા લાગી. મને ઓફિસમાં બોલાવીને કહ્યું “તું કાઈપણ ગોલમાલ થાય તો મને જણાવી દેજે.” બેંકે એટલી પ્રગતિ કરી કે એ એક મોટી બેંક સાથે જોડાઈ ગઈ હવે મારી બેન્કનું નામ હૅરિસ બેંક હતું.
એ સપ્ટેમ્બર ૧૧ , ૨૦૦૧ની તારીખ હતી. હું સવારે જોબ પર જવા નીકળી હતી. રોજની જેમ મેં રેડિયો પર ન્યુઝ મૂકેલા. હું સમાચાર સાંભળતી હતી. અને અચાનક બ્રેકીંગ ન્યુઝ મેં સાંભળ્યા કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે એક પ્લેન અથડાયું અને ટાવર ડેમેજ થઇ ગયો છે. તરત બીજું પ્લેન આવ્યું અને બીજી તરફથી ટાવર સાથે અથડાયું. અને ત્રીજા પ્લેને પેન્ટાગોન પર હુમલો કર્યો. એક પ્લેન પેન્સિલ્વિનયામાં પણ અથડાયું. મુસલમાન ટેરોરિસ્ટનું નામ આવ્યું. ૨૯૭૭ માણસો ગુજરી ગયા. જેમાં 19 લોકો હુમલો કરવાવાળા પણ હતા. ૬૦૦૦ લોકો ઘાયલ થયાં હતાં. ઉસામા બિન લાદીનનું નામ આવી રહ્યું હતું. ઇસ્લામ જે પરદા પાછળ છૂપાયેલો હતો એ ચર્ચામાં આવી ગયો.
અમેરિકન મુસ્લિમ પ્રત્યે જુદી દ્રષ્ટિથી જોવા લાગ્યા. હિજાબ પહેરેલી સ્ત્રી કે દાઢીવાળા પુરુષને ટેરોરિસ્ટ ગણવા લાગ્યા! એમની તરફ શંકાથી જોવાં લાગ્યાં. મસ્જિદ તરફ કડક નજર રાખવામાં આવતી. પણ આ ધડાકાથી એક રિવર્સ અસર પણ આવી. ઇસ્લામની અવગણના કરવાવાળા ઇસ્લામને જાણવાં સમજવાં માટે કુરાન ખરીદવા લાગ્યા! હજારોની સંખ્યામાં કુરાન વેચાવાં લાગ્યાં. હજારોની સંખ્યામાં લોકો મુસલમાન પણ બનવાં લાગ્યાં. આફ્રિકન અમેરિકન અને ગોરા લોકો ઇસ્લામને સ્વીકારવાં લાગ્યાં. કુરાનમાં એક આયાત છે કે ” જો કોઈએ એક માનવીને માર્યો તો એને આખી માનવજાતને મારી, અને જો કોઈએ એક માનવીને બચાવ્યો તો એને આખી માનવજાતને બચાવી.” સુરા માએદા આયાત 32. ઇસ્લામ શાંતિપ્રિય ધર્મ જ છે. અસ્સલામો અલયકુમનો અર્થ પણ “તમારા ઉપર સલામતી થાય.” એવો થાય છે. તો ઉસામા બિન લાદીન ઇસ્લામમાં નથી, પણ ઉસામા ઇસ્લામનો દુશમન છે એમ કહી શકાય! શબ્બીરના બાળમાનસ પર આ પ્રસંગની અસર થઇ હતી. ઇસ્લામને સમજવાની કોશિશ કરવા લાગ્યો. હું પણ ઇન્ટરફેઈથ કાર્યક્રમમાં જવા લાગી. શિકાગો ડાઉન ટાઉનમાં એક મોટો ઇન્ટરફેઈથ કાર્યક્રમ થયેલો. જેમાં એક ક્રિશ્ચન અને એક મુસ્લિમ એમ બેસાડવામાં આવ્યાં હતાં. મારી સાથે એક ક્રિશ્ચન શિક્ષિકા હતી. અમે બંને ખૂબ વાતો કરી અને અંતમાં માનવધર્મ સૌથી શ્રેષ્ઠ છે, અને એને ફોલો કરવો જોઈએ. તેમજ કોઈ પણ ધર્મ હિંસા શીખવતો નથી. એમ માનીને શેક હેન્ડ કરી અમે છૂટા પડયાં હતાં. લોકોમાં એકતા પણ આવી. લોકોનો ઇસ્લામ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો.
પપ્પા હવે એકલા પડી ગયા હતા. જોકે બા પપ્પાને બંને જીવતાં હતા ત્યારથી જ જુદાં પાડી દેવામાં આવ્યાં હતાં . બાગબાન મુવી જેવી હાલત થઇ હતી. બાગબાનમાં છેલ્લે અમિતાભ અને હેમા માલિની મળી જાય અને અને ‘બાગબાન’ પુસ્તકમાંથી લાખો રૂપિયા કમાય છે પણ અહીં એવું કાંઈ બન્યું નહિ.એ થૅન્ક્સ ગિવિંગ નો સમય હતો , ભાઈનો કોલ આવ્યો,” પપ્પાની તબિયત સારી નથી. તું ભારત આવી જા, છેલ્લીવાર પપ્પાનો મોઢું જોવા માટે!”મને ભારતની ટિકિટ મળતી નહોતી . મેં બેગ તૈયાર રાખેલી અને શરીફનો મારી જોબ પર કોલ આવ્યો કે તને આજ રાતની ટિકિટ મળે છે તું જલ્દી ઘરે આવી જા. મેરીઓન મારી બોસ ખૂબ સારી હતી. એને કહ્યું ,”બાનુ, તું જા અમે તારું ડ્રોઅર બેલેન્સ કરી લઈશું.” અને હું નીકળી ગઈ. પ્લેનમાં હું રડતી રહી. ભારત મને હતું એના કરતા પણ દૂર લાગ્યું. હું ભારત પહોંચી તો પપ્પા મને ઓળખી પણ ના શક્યા. એમને ઓલ્ઝાઇમર થઇ ગયું હતું. એમણે મને પૂછ્યું,” તમે કોણ બહેન ?” પણ આંખો બંધ કરીને બોલતા હતા કે “બાનીયાને બોલાવો એ અમેરિકા છે.” મેં પપ્પાને હલાવીને કહ્યું,” પપ્પા, હું તમારો બાનીઓ પપ્પા આંખો ખોલો, પપ્પા મને ઓળખો! હું જ તમારો બાનીઓ ! ” પણ પપ્પા ના ઓળખી શક્યા. પપ્પાએ ખાવા પીવાનું મૂકી દીધું હતું. બસ ખાલી શ્વાસ ચાલતાં હતાં. ફરી એકવાર મને મજબૂર થઇ અમેરિકા પાછું ફરવું પડ્યું કારણકે રિટર્ન ટિકિટ લઈને આવી હતી. સત્તર ડિસેમ્બર 2002ના દિવસે પપ્પાને આવી હાલતમાં મૂકીને અમેરિકા પાછી ફરી. 21 ડિસેમ્બરે એમણે પ્રાણ છોડી દીધા. બાનીયાના પપ્પા બાનીયાને આ દુનિયામાં એકલી મૂકીને જતા રહ્યા.
મેં સગાવહાલા પાસેથી સાંભળ્યું કે પપ્પાની તબિયત થોડી સારી હતી ત્યારે પપ્પા ઘૂંટણિયે ચાલતા ચાલતા ભાઈના ઘરમાંથી બહાર નીકળી જતા અને કહેતા કે મારે 299 માં જવું છે. પણ એમને યાદ ના હતું કે એ ક્યાં આવ્યું છે. મરતા મરતા પણ એમને 299 માં રહેવા જવું હતું! એવો પ્રેમ હતો એ બંગલા સાથે! પપ્પા તમે હવે નથી, 299 પણ નથી ત્યાં એક ખાલી મેદાન છે. પપ્પાનો માળો વિખેરાઈ ગયો. એક એક તણખલું લઈને એમણે બાંધ્યો હતો. હવે પપ્પાના બધાં અરમાન એક મેદાન બની ગયા છે . ત્યાં હવે રાતરાણી, ગુલાબ કે ચંપો મહેકતા નથી. ત્યાં હવે બોગનવેલ નમીને સલામ કરતી નથી. ત્યાં નાળિયેરી દીકરીઓની રાહ જોતી નથી.ત્યાં ‘પપ્પા પપ્પા , બા બા” નો કલરવ સંભળાતો નથી. બસ એક સૂનું મેદાન છે. ખુલ્લા મેદાનમાં પપ્પાના પગલાં પણ નથી! 1970 માં બંધાયેલા એ માળાના તણખલાં 2017માં વેરવિખેર થઇ ગયાં!
બસ નથી ગમતું હવે ‘સપના‘ અહીં
આજ પપ્પા એજ લખવાનું હતું.સમય તો વહેતો જ જાય છે. 2003 માં અમે લોકોએ યુરોપની ટૂર લીધી. શબ્બીર તેર વરસનો થયો હતો. અમે ફ્રાન્સ ઘણીવાર જઈ આવેલાં. યુરોપની ટૂરમાં અમે સત્તર દેશ જોયાં. જેમાં સ્વિઝર્લેન્ડ , ઇટલી, ફ્રાન્સ, બ્રિટન, જર્મની, ઓસ્ટ્રિયા વિગેરે હતાં. 2004 જુલાઈમાં અમે ફરી ભારતથી અમે મલેશિયા, સિંગાપુર, અને થાઈલેન્ડ ફરવા ગયાં હતાં. અમે જ્યારે ભારત જતાં ત્યારે એક દેશ જોઈને જતાં. જેમાં કેનેડા,ટરકી, સ્પેન, મસ્કત, મોરોકો , ઈજીપ્ત ,ઓમાન, દુબઇ, સીરિયા, ઈરાન, ઇરાક, અબુધાબી આવે છે. આમ શરીફે કુદરતની બનાવેલી આ અદભૂત ધરતી પર 32 દેશ દેખાડીને મને મંત્રમુગ્ધ કરી દીધી છે. દુનિયા જોવાનો મારો શોખ એ હજુ પણ પૂરો કરી રહ્યો છે. પ્રકૃતિ એટલે ઈશ્વર! અવની આટલી સુંદર છે તો જેને આ અવની બનાવી છે તે કેટલો સુંદર હશે ! આ પહાડ, આ ફૂલો, આ જંગલ, વહેતી નદીઓ, આ સમુદ્ર, આ અવનવા પ્રાણીઓ, અને આ રંગબેરંગી પક્ષીઓ! અહો ઈશ્વર કેવી કરામત કરી આ અવની બનાવીને !!
આસમાની ચૂંદડી ઓઢી ધરા સોળે સજી
ચાંદની પણ પાથરી તે કેટલો સુંદર હશે!2004 માં શરીફે વોલગ્રીન છોડીને સીવીએસમાં જોબ લીધી. અમે ટીનલી પાર્ક છોડી ને શ્યામબર્ગ રહેવાં આવી ગયાં. એ ઘર મસ્જિદથી નજીક હતું અને શરીફની જોબથી પણ નજીક હતું. ટીનલી પાર્ક માં અમે સોળ વર્ષ રહ્યાં. એ ઘર છોડતાં ખૂબ દર્દ થયું. એ ઘરમાં હતાં ત્યારે મા , બા અને પપ્પાને ગુમાવ્યાં હતાં. વળી અમારા પડોશી બધાં અમને ખૂબ ચાહતાં હતાં. શબ્બીરના જન્મથી શબ્બીરને 14 વર્ષનો થતા જોયો હતો. શબ્બીરનો ખાસ મિત્ર માઈકલ અને માતાપિતા ઓસ્કાર અને લીઝ જે અમારી બાજુમાં રહેતાં હતાં. પાછળ મેટ અને બની રહેતાં હતાં, સામે રહેતાં એલ અને વેરોનિકા અમારા સુખદુઃખના સાથી બની ગયાં હતાં . એ બધાને છોડીને જવાનું ખૂબ દુઃખ હતું. ભલે એમની સાથે લોહીનો સંબંધ ના હતો. પણ લાગણીનો સંબંધ જરૂર હતો.
શ્યામબર્ગ આવતા મારે બેન્કમાંથી પણ બદલી કરાવવી પડી. ૨૦૦૪ થી બેરીંગ્ટનની હેરિસ બેંકમાં કામ ચાલુ કર્યું. તે ૨૦૦૮ સુધી કામ કર્યું. ટીનલી પાર્કના ઘરમાં એક વખત હું દાદર પરથી પડી ગઈ હતી. અને મારા ગોઠણની ગાદી તૂટી ગઈ હતી. તેથી મને ચાલવામાં ખૂબ તકલીફ પડતી હતી. ડોકટરે ‘ની રિપ્લેસમેન્ટ’ કરવાની સલાહ આપી હતી. શરીફને પણ લાગતું હતું કે આટલી નાની ઉંમરે આવી જિંદગી શી રીતે જીવાય? સ્ટોર માં જવાનું પણ હું ટાળતી. ચાલી જ નહોતી શકતી. ૨૦૦૮ ની જૂન મહિનાની 21 તારીખે નોર્થવેસ્ટ હોસ્પિટલમાં મારાં બંને ગોઠણની સર્જરી થઇ. સર્જરી તો થઇ ગઈ પણ મને લગભગ બધી પેઈન કિલરની એલર્જી હતી, એટલે કોઈ પણ પેઈન કિલર લઇ શકતી નહોતી. અને આ સર્જરીનો દુ:ખાવો સખત હોય છે. મને નવ મહિના લાગ્યા રિકવર થતા. પણ શરીફે અને શબ્બીરે મારું ખૂબ ધ્યાન રાખ્યું. હું રિહેબ માં ત્રણ અઠવાડિયા રહી તો શરીફ મને વ્હીલચેરમાં નાખી અને રસ્તા પર ફેરવ્યા કરે કારણકે દર્દ એટલું થાય કે પથારીમાં સુઈ પણ ના શકું. આ રિકવરીને લાંબો સમય લાગ્યો એટલે મારી બેંક ની જોબ છૂટી ગઈ અને મારે ડિસેબિલિટી પર જવું પડ્યું. આ લાંબા સમયના દુ:ખાવાના લીધે હું ડિપ્રેશનમાં ગઈ હતી. જીવવાની બિલકુલ ઈચ્છા નહોતી. બસ એમ થાય કે ક્યારે આ દુ:ખાવાથી છૂટકારો મળે.
બચપણથી મને લખવાનો શોખ હતો. મારી બહેન નજમા ઉર્દુમાં શાયરી લખતી, હું હિંદીમાં અને ગુજરાતીમાં લખતી. સૌરાષ્ટ્ર સમાચારમાં મારી કવિતાઓ આવતી. આ નિરાશાએ મારા હાથમાં ફરી કલમ પકડાવી દીધી. મારી વરસોથી છૂટી ગયેલી મારી સહેલી જાણે મળી ગઈ! વર્ષોથી ગુંગળાતાં શબ્દો કાગળ પર નાચવાં લાગ્યાં. મારું દુઃખ ,મારી હતાશા અને મારી અંદર છૂપાયેલો પ્રેમ શબ્દ થકી વહેવા લાગ્યો. શબ્દો મારી આસપાસ ગુંજતાં રહેતાં અને હું એને પકડીને કાગળ પર મૂકી દેતી! શબ્બીરે મને બ્લોગ બનાવી દીધો. એનું નામ મેં રાખ્યું,”કાવ્યધારા” ૨૦૧૦ માં હું ગઝલ લખતાં શીખી. અને ૨૦૧૦ માં મારો પહેલો ગઝલ સંગ્રહ ” ખૂલી આંખનાં સપનાં ” પ્રકાશિત થયો. જેનું વિમોચન કવિ શ્રી કૃષ્ણ દવેએ કરેલું. ૨૦૧૪ માં મારો બીજો સંગ્રહ “સમીસાંજના સપનાં ” ઇમેજ પ્રકાશને પ્રિન્ટ કર્યો. અને એનું વિમોચન સ્વ કવિ શ્રી ખલીલ ધનતેજવી સાહેબે કર્યું. એક નવલકથા પ્રકાશિત થઇ છે. જેનું વિમોચન કવિ શ્રી અઝીઝ ટંકારવી સાહેબે કર્યું હતું. કવિ શ્રી ભાગ્યેશ જહાં એ હાજરી આપેલી! હજુ સાહિત્યની સફર ચાલુ છે. હાલમાં એક નવલકથા પૂરી થઇ જેનું નામ ” અધૂરાં સપનાં “છે. અલ્લાહ કરે ઝોરે કલમ ઔર ઝ્યાદા! આ સાહિત્ય સફર દરમ્યાન ઘણાં સુપ્રખ્યાત કવિઓ સાથે મુશાયરો કરવાનો મોકો મળ્યો. જેમકે કવિ શ્રી ખલીલ ધનતેજવી સાહેબ, કવિ શ્રી આદમ ટંકારવી સાહેબ, કવિશ્રી રઈશ મણિયાર સાહેબ, કવિ શ્રી વિવેક ટેઈલર સાહેબ, કવિ શ્રી અશરફ ડબાવાલા, કવયિત્રી શ્રીમતી મધુમતી મહેતા. અને હું બાનુમામાંથી ‘સપના’ ક્યારે બની ગઈ એની મને ખબર પણ ના પડી. આ શબ્દોએ મારું ડિપ્રેશન પણ દૂર કર્યું અને જીવવા માટે લક્ષ આપ્યું. હું ગુજરાતીને એ રીતે પ્રેમ કરું છું , જે રીતે દીકરી પોતાની માતાને પ્રેમ કરે! તેથી જે તેને માતૃભાષા કહેતા હશે!
ક્રમશઃ
