-
બહેતર પરિણામોની ખોજનો માર્ગ પ્રક્રિયા પ્રવાહની દિશામાં આગળ વધતો રહેવો જોઇએ
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
કાર્યસાધકતા, પરિણામો, ઉત્પાદકતા કે સુધારણાઓ જેવા બહેતર નિષ્કર્ષોની ખોજમાં સંચાલકો ઘણી વાર સંસ્થાના માળખાનાં પદાનુક્રમની જાળમાં ગુંચવાઇ જાય છે. સંસ્થાના માળખાને સમયે સમયે સમુંનમું કરવા માટેના થતા ફેરફારોનો પણ આશય સામાન્યતઃ વ્યક્તિ કે ટીમની કામગીરીનાં વળતર સ્વરૂપે જવાબદારીઓ અને સતાની વહેંચણીંનાં નવાં સમીકરણોને અનુરૂપ કરવાનો હોય છે. પરંતુ આ આશય એક માત્ર આશય ન બની રહેવો જોઈએ. એ ફેરફારો કરતી વખતે પણ સંસ્થાના લાંબા ગાળાનાં દર્શના ધ્યેયની સિદ્ધિ અનુરૂપ હોય એવી કાર્યક્ષમ વ્યક્તિઓને યથોચિત જવાબદારીઓ અને તે સિદ્ધ કરવા માટે આવશ્યક સતાની સોંપણી પર ખાસ ધ્યાન અપાતું રહેવું જોઈએ. તે સાથે એ પણ યાદ રહેવું જ જોઈએ કે સંસ્થાના માળખાનો પદાનુક્રમ સંસ્થાની ધેય સિદ્ધિ માટે જે તે સમયે ઉચિત હોય તેવી પ્રક્રિયાઓમાં સહજપણે નીપજતી માહિતીઓના પ્રવાહોને સરળ રાખવા માટેનાં ધોરી નસોનું માળખું છે.
સંસ્થાના પદાનુક્રમની ચડતી ઉતરતી ભાંજણીની સાથે કામના પ્રવાહની પરિસ્થિતિ સમજવી એટલા માટે જરૂરી બની જાય છે કે કામ અંગેની માહિતી અને સંવાદને આપલે, ટીમની અંદર અંદર, એકબીજી ટીમમાં , એક બીજા વિભાગ વચ્ચે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિ વચ્ચે સમસ્તરે પણ થતી રહે છે.પોતાના ભાગે આવેલું કામ કોઈ પણ કેવી નિષ્ઠાથી, કેટલં ઊંડાણમાં જઈને કેટલા ખંતથી કરે છે તે જેટલું વ્યક્તિગત અને સામુહિક પ્રયાસોના નિષ્કર્ષની ગુણાત્મકતા પર આધારીત છે એટલું માહિતીના સરળમાં સરળ પ્રવાહ બની રહેવા પર પણ આધાર રાખે છે. ખરેખર તો નિષ્કર્ષની ગુણાત્મકતામાં જે કંઈ કચાશો દેખાય છે તેની પાછળ આ માહિતીના પારદર્શી પ્રવાહને નડેલા અવરોધોની ભૂમિકા બહુ મોટી હોય છે.
કોઈ પણ કામ સારી રીતે પાર પાડવા માટે ઉત્તમ કાર્યક્ષમતાવાળી વ્યક્તિ મહત્ત્વની જરૂર છે. પણ એ વ્યક્તિ સારૂ, વધારે સારૂં, કામ કરતી રહી શકે તે માટે અનુકૂળ વાતાવરણ આવશ્યક છે. એ વાતાવરણ સર્જાય છે, એકબીજા સાથે સાથે સંકળયેલાં ઘટકોને માહિતીના પ્રવાહ દરમ્યાન માહિતી સંદર્ભોને બીનજરૂરી અર્થઘટનોથી પ્રદુષિત ન કરતાં એકસુત્રી બંધનો બાંધતી તંત્ર વ્યવસ્થાથી. આમ તંત્ર વ્યવસ્થામાં એકબીજાં સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ તેમાં કામ કરતાં લોકો માટે બહુ જ જરૂરી સાધનની ગરજ સારે છે. જે સંસ્થા સતત ઉચ્ચ કક્ષાની કામગીરી કરતી રહેવા માગે છે તેનું માળખું એકબીજાં સાથે માહિતી પ્રવાહ વડે સંકળાયેલી પ્રક્રિયાઓની શક્તિને કદાપિ અવગણી શકે નહીં.
એટલે જ્યારે જ્યારે સંસ્થાના માળખાંમાં ફેરફારો કરવામાં આવે ત્યારે ત્યારે માહિતી પ્રવાહની દિશા અને વલણોના કોણ ક્યારે ક્યારે અને કયા કયા સંદર્ભોમાં ઉપયોગ કરે છે એવાં પ્રક્રિયાઓનાં પાસાંઓને ધ્યાન પર ન લેવામાં આવે તો વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધોની તંદુરસ્તી જ્ખમાઈ શકે છે.
સંસ્થાના માળખાનાં પદાનુક્રમમાં કરાતા મરમ્મત સ્વરૂપ ફેરફારો કોઈ જાદુઈ છડી નથી. લાંબા ગાળાની સુધારણાઓ (અને તેના ફાયદાઓ)ને સિદ્ધ કરતા રહેવા માટે સંસ્થાના સંપોશિત સ્પર્ધાત્મક સરસાઈ બનાવી રાખતાં ભવિષ્ય માટે તેને ચરિતાર્થ કરી શકે, સમય સમયની માંગ અનુસાર અનુકૂલન બનાવી રાખે એવી તંત્રવયસ્થાઓ અને માળ્ખાંની પછળ સમય, શક્તિ અને યથોચિત સંસાધનોમાં રોકાણ કરતાં રહેવાની પ્રાથમિકતા ક્યારે પણ બીનમહત્ત્વની ન ગણવી જોઈએ.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
પાર્કિન્સન નિયમનો હોર્સ્ટમેનનો પ્રતિ-ઉપનિયમ
મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત
પાર્કિન્સનનો નિયમ અને સમયનું વ્યવસ્થાપન
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
પાર્કિન્સનના નિયમની વિરુદ્ધ અસર વિષે ખુદ પાર્કિન્સન જ તેમનાં પુસ્તક, Parkinson’s Law, and Other Studies in Administration, માં ઇશારો કરતાં કહે છે કે ‘સૌથી વધારે વ્યસ્ત વ્યક્તિ પાસે જ નવરાશ હોય. આ વાત પછી તો એક મુહાવરો બની ગઈ –
‘જો કોઈ કામ કરાવવું હોય તો કોઇ વ્યસ્ત વ્યક્તિને સોંપો.’
બીજા શબ્દોમાં કહીએ તો જો કોઈ કામ નવરાશના સમયે ઉપાડ્યું, તો જેટલો સમય આપશો તેટલો સમય વપરાઇ જશે. પરંતુ કેટલો સમય આપણી પાસે છે તે નક્કી કરી અને તેમાં જેટલું વધારે બને તેટલું કામ પુરૂં કરવાની ગાંઠ બાંધીશું તો એકંદરે ઘણા ઓછા સમયમાં એ જ કામ પુરૂં થશે.
manager-tools.com વેબસાઈટના સહ-સંસ્થાપક માર્ક હોર્સ્ટેમેને આ જ વાતને એક સુગઠિત ઉપસિદ્ધાંતના સ્વરૂપે રજુ કરી –
‘જેટલો સમય આપો એટલામાં કામને સમાવાઈ લેવાય.’
બધી બાબતોની છૂટ હોય એ કરતાં થોડી થોડી ખેંચ અનુભવાય તો લોકો પોતાની પાસેનાં સંસાધનોનો બહુ સર્જનાત્મક રીતે ઉપયોગ કરવાના રસ્તા ખોળી કાઢતાં હોય છે. આ વિચારને લઈને કેટલાંક અભ્યાસ સંશોધનો પણ થયાં છે. એ અભ્યાસો દરમ્યાન જોવ અમળ્યું છે કે જે સંસાધની ખેંચ હોય તેના ઉપયોગમાં બચત થાય એ માટે લોકો અવનવા પ્રયોગો ખોળી કાઢી શકતાં હોય છે. આ સંદર્ભમાં મને યાદ આવે છે કે સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરોમાં આજે જ્યારે ૨૪ કલાક પાણી ઉપલબ્ધ છે ત્યારે દિવસમાં બે વાર નહાતાં લોકોની પહેલંની પેઢીએ જ્યારે પાણીની સખત અછત જોઈ હતી ત્યારે હાથ શોયા પછી વૉશ બેઝિનમાંથી નીકળતાં પાણી વડે પોતાનાં આંગણાંમાં તેઓ ઝાડપાન ઉગાડતાં.
સમયની થોડી ખેંચ રાખીને કામની સમય મર્યાદા નક્કી કરાય તો ઉત્પાદકતા વધે છે એ ગણતરી એ ક કંપની તેની ઑફિસનો સમય સવારે ૮ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યાને બદલે ૯થી ૪નો કરવાનો પ્રયોગ કર્યો. એ પ્રયોગ દરમ્યાન જોવા મળ્યું કે પહેલાં જે નિર્ણય લેવા માટે મિટિંગ એક કલાક ચાલતી તે હવે પંદર મિનિટમાંજ નિર્ણય લઈ લે છે. પહેલાં કરતાં વધારે કામ કરવા છતાં પણ સાંજે ચાર વાગ્યે ઘરે જવા નીકળી શકવાનું શક્ય બનવા લાગ્યું એટલે કર્મચારીઓ પણ વધારે ખુશમિજાજ રહેવા લાગ્યાં હતાં. જોકે કેટલાં બાહ્ય કારણોને કારણે આ પ્રયોગ બહુ લાંબો ન ચાલી શક્યો તે વળી અલગ બાબત છે.
આમ થવા પાછળનું કારણ એ છે કે ઓછો સમય હોવાને કારણે આપણે મનને આડી અવળી બાબતોમાં ભમવા દેવાને બદલે બધું જ ધ્યાન કામ પર જ રાખીએ છે. પરિણામે કામનો વધારે કાર્ય્સાધક ઉપયોગ થવાની સાથે તેની અસરકારકતા પણ વધી જાય છે.
બીજી એક બાબત છે વધારે પડતી ચોકસાઈના આગ્રહની, જેને કારણે પણ કામ પુરૂં કરવામાં વધારે સમય લાગી જાય છે.
તેમનાં પુસ્તક, Critical Chain,માં ઈલીયાહુ ગોલ્ડ્રૅટ નોંધે છે કે કામને ૯૦% નિશ્ચિતતાથી પાર પાડવાને બદલે ૫૦% નિશ્ચિતતાથી પાર પાડવાનું નક્કી કરવાથી કામ પુરૂં કરવાના સમયમાં નાટકીય બચત થતી જોવા મળી છે.
આ વિચાર પરથી પ્રોજેક્ટ મૅનેજમૅંટનાં ક્ષેત્રમાં નિશ્ચિત કાર્યસિદ્ધિ માટે સમય નક્કી કરવા (fixed scope) – આટલું કામ ૧૫મી તારીખ સુધીમમ કરવું છે – ને બદલે’આઠમી તારીખ સુધી જેટલું કા થઈ જાય તે પછી આગળનું વિચારીશું એવી આકાંક્ષા – appetite – સાથેના ‘પરિવર્તનક્ષમ લક્ષ્ય (ફ્લેક્ષિબ્લે સઓપે)થી કામ કરવાથી પ્રોજેક્ટ માત્ર ઓછા સમયમાં જ નથી પુરો થતો પણ તેની ગુણવતા પણ સુધર્ટી જતી જોવા મળે છે.
સોફ્ટવેર પ્રોજેક્ટનાં ક્ષેત્રમાં આખરી લક્ષ્યબિંદુને લગતાં કામાની પ્રગતિની લાંબા લાંબા સમય અંતરાલ પછી થતી સમીક્ષાઓને એ લક્ષ્યબિંદુને નાનાં કામોમાં વહેંચી નાખીને સમીક્ષાઓ દર અઠવાડીયે કે તેથી ઓછા સમયમાં કરવાની પદ્ધતિઓ જે Scrum કે Agile પદ્ધતિ તરીકે પ્ળખાય છે તે હવે બહુ પ્રચલિત બની છે.
આમ દરેક કામમાં થતી ઢીલની પાછળ જો પાર્કિન્સનના નિયમનો અદૃશ્ય દોરીસંચાર અનુભવાય છે તો તેનાથી બિલકુલ વિપરિત અભિગમ, , અપનાવવાથી ઓછા સમયમાં વધારે (અસરકારક) કામ પણ કરી શકાય છે.
-
અનન્ય ચિકિત્સા પ્રથાઓ
નિત નવા વંટોળ
પ્રીતિ સેનગુપ્તા
અત્યંત લોકપ્રિય ધર્મગુરુ શ્રી ચૌદમા દલાઈ લામાને સાંભળવા અમેરિકાના “તિબેટી બૌદ્ધ-ધર્મ અભ્યાસ-કેન્દ્ર”માં છ હજારથી વધારે લોકો ભેગા થયેલા. એમાંના દરેક જણ બૌદ્ધ ધર્મ પાળનારા નહતા, પણ એ દરેકને એ ધર્મના આચરણમાંની રીતિની જાણ હતી. એ રીતિનાં મુખ્ય અંગો ધ્યાન, શાંતિ અને માનસિક સમતુલન છે. પશ્ચિમના દેશોનાં શીઘ્રગતિ અને ભૌતિકવાદી જીવન જીવનારાં અસંખ્ય પ્રજાજનો આ પ્રકારની જાણકારીની શોધ આજ-કાલ કરી રહેલાં જણાય છે. ધીમાં પડી જવામાં, સ્થિર થઈ જવામાં જે ગુણ છે, તેનાથી એ બધાં વધારે ને વધારે માહિતગાર થતાં જાય છે.ધ્યાન ઉપરાંત રેઇકી, સ્પર્શીતિરિકૃત ઉપચાર, યોગ જેવી પ્રથાઓ પણ પ્રચલિત થઈ રહી છે. કુદરતી ઉપચાર, હોમિઓપથી, આયુર્વેદિક દવાઓ વગેરેથી પણ પ્રજાઓ હવે અજાણ નથી. તબીબી ક્ષેત્રમાં પણ અચાનક શરીર તેમજ મનની ચિકિત્સા પર ભાર મુકાવા માંડ્યો છે. ઊલટું, હવે એ પ્રશ્ન પુછાય છે કે આટલું સમજતાં આટલી વાર કેમ થઈ? હૃદયની શસ્ત્ર-ક્રિયા પછી બેભાનાવસ્થામાં રહેલા દરદીને પણ મધુર સંગીત સંભળાવવામાં આવે છે, કારણકે એનાથી એને સાજા થવામાં ઘણી મદદ મળે છે. ધ્યાન, યોગ અને પ્રાણાયામ તો ઘણો જ પ્રચાર પામી ચૂક્યાં છે. આ બધી અ-સામાન્ય ચિકિત્સા-રીતિઓને વિવાદાસ્પદ માનનારાં પણ છે જ, છતાં એમાં વિશ્વાસ ધરાવનારાંની સંખ્યા ઘણી વધારે છે.કુટુંબ વગરની એકલવાયી જિંદગી જીવતાં અસંખ્ય પ્રજાજનો સમૃહ-બેઠકોમાં એકમેક સાથે વાતો કરીને પોતપોતાનાં દરદ અને પીડાની ચર્ચા કરીને પણ ઘણો આધાર પામે છે. આવી વ્યવસ્થા હૉસ્પિટલોમાં જ નહીં, પણ વ્યફ્તિગત રીતે ખોલાયેલાં સામાજિક સ્થાનો દ્વારા પણ કરાતી હોય છે. બિન-તબીબી ઉપચાર-પદ્ધતિઓની અગત્ય હવે એટલા બધા પ્રમાણમાં મનાય છે કે ન્યૂયોર્કની એક મોટી હૉસ્પિટલમાં યોજાનારી “યૂરોલોજી એન્ડ ન્યૂરો-સર્જરી”ની મહત્ત્વપૂર્ણ કૉન્ફરન્સમાં શ્રી દલાઇ લામાને ખાસ આમંત્રણ આપવામાં આવેલું, અને દેહ-મન વચ્ચેના રહસ્યમય સૂત્ર વિષે વાત કરવા, પ્વીય પરિપ્રેકષ્યથી ઉચ્ચ સ્તરીય ધ્યાનનો સંદર્ભ સમજાવવા, તથા અંતે, તિબેટી ઉપચારના અભિગમો અપનાવવાના પ્રયાસોને આશીર્વાદ આપવા માટે એમને વિનંતી કરવામાં આવેલી.માનસિક શાંતિ અને સ્વ-ચિકિત્સાના જ ઉદ્દેશથી એક બીજી પણ ધૂન અમેરિકાને લાગી છે, અને એ છે ભુલભુલામણીનાં વર્તુળો પર ચાલવાનો અનુભવ. અત્યારે એ અભિગમ પ્રાચીન પ્રથા અને નવ્ય નિસર્ગ-પ્રીતિ, પૂર્વીય ધર્માચાર અને ખ્રિસ્તી કર્મકાંડ જેવા વિરોધાભાસી તત્ત્વોના મિશ્રણ જેવો લાગે છે, પણ ભુલભુલામણીના વર્તુળાકારો દુનિયાનાં અનેક સ્થાનોમાં, વિભિક્ન રીતે, ઈ.પૂ.ના કાળથી દેખાતા આવ્યા છે – ક્યાંક સિક્કાઓ અને માટીનાં વાસણો ઉપર, તો ક્યાંક પાષાણ પર કોતરેલા. આ વર્તુળો યુરોપનાં ખ્રિસ્તી દેવળોની દીવાલો અને ફર્શ પર ચિતરાયેલાં જોવા મળે છે, તો અમુક દેશોમાં ભૂમિ પરનાં ખેતરોમાં ચાસથી પડાયેલાં પણ દેખાય છે. અમેરિકાની પ્રજાનો કેટલોક અંશ આજે આધ્યાત્મિક અનુભવ અને સાંત્વન માટે પાદરીના વ્યાખ્યાનથી જુદું કંઈક ઝંખી રહ્યો છે, ને ત્યારે ભુલભુલામણીનાં ચોક્કસ પ્રકારનાં આલેખન પ્રાર્થના, આંતર્નિરીક્ષણ અને માનસિક સ્વસ્થતા તરફ જતો પથ બની રહે છે.
ભુલભુલામણી પર ચાલનારા લોકો એકલાં કે સાથી સાથે, ઝડપથી કે ધીરે ધીરે, વિચારોમાં મનને કે પરિસરને માણતા- પોતપોતાની રીતે- એને માણે છે. શાંતિ તો બધાં જ પામે છે, મન હળવું થઈ જતું પણ ઘણાંને લાગે છે, અને કેટલાંક પોતાની પીડા અને સમસ્યાઓનો સામનો કરવાની હિંમત પામે છે. આશ્ચર્યજનક જ નહીં, વિચિત્ર પણ લાગે છે આ વાત, પણ જરા વિચાર કરીએ તો સમજી શકાય કે આવાં સારાં પરિણામ કેમ આવે છે આટલી નાની વાતથી.મોટા ભાગના લોકોનાં જીવન ખૂબ ઉતાવળાં, વ્યસ્ત, ક્લાંત અને અશાંત હોય છે. વાહનો અને લાંબાં લાંબાં અંતર છોડીને વ્યફિત જ્યારે જમીન પર પગ મૂકે છે, બધી જ ઝડપ અને દોડાદોડને જતી કરે છે, ત્યારે ગતિહીનતા આપોઆપ એને શારીરિક શાંતતા આપી દે છે. એ પછી વ્યફ્તિ જ્યારે વિચરણ શરૂ કરે છે, ત્યારે આકારની તેમજ ચલનની નિયમિતતા એને આંતરિક શાંતિનું સુખદ સંવેદન બક્ષવા માંડે છે. આવાં સંવેદનોથી પાશ્ચાત્ય પ્રજા અજાણ હોય છે, ને તેથી આ અનુભવે એને ઉત્સાહિત કરી દીધી છે. અમેરિકાનાં કેટલાંક દેવળો, હૉસ્પિટલો અને ખુલ્લાં મેદાનોમાં અગિયાર કે બાર –
દોરીને, રંગીને, પથ્થર જડીને, ચાસ પાડીને વર્તુળો બનાવાયાં હોય તેવાં સવાસો-દોઢસો સ્થાન આજે આ દેશમાં થઈ ગયાં છે. શરૂ શરૂમાં તો લોકો ભય અને સંદેહ પામીને આ વર્તુળોથી દૂર રહ્યાં, ક્યાંક તો વિરોધ પણ થયો, ને કેટલાકે એને કોઈ પિશાચી પંથનું પ્રતીક પણ માન્યું.પણ બીજી બાજુ, એની લોકપ્રિયતા અને એનાં સારાં પરિણામોમાં શ્રદ્ધા વધતાં પણ ગયાં છે. સ્થાયીની સાથે જાડા કાપડ પર ચિતરાયેલી ભુલભુલામણીઓ પણ વપરાવા માંડી છે. ઘણાં દેવળો અને હૉસ્પિટલોમાં એ ચિત્રિત આલેખન ખુલ્લાં મુકાય છે. લોકો અને દરદીઓ એનો લાભ લે છે. કેટલાંક મહાવિદ્યાલયોમાં પરીક્ષા પહેલાં એમને પાથરવાની પ્રથા શર્ થઈ છે, કે જેથી વિદ્યાથી-ગણ એના પર ચાલી શકે, ને ઉદ્વેગ-ચિંતાને ખંખેરી શકે. અરે, ચિત્રિત ભુલભુલામણીઓને જેલોમાં પણ લઈ જવામાં આવે છે કે જેથી કેદીઓ પણ એનાં ગુણાત્મક પરિણામોનો લાભ લઈ શકે.આ વિરચન માટે અગ્રેજીમાં બે શબ્દો જોવા મળે છે – “લૅબિરિન્થઃ, એટલે ભુલભુલામણી. એમાં વર્તુળો ઘણાં હોય, પણ પ્રવેશવાનો અને બહાર નીકળવાનો રસ્તો એક જ હોય, તેથી કોઈ ગુંચવણ કે ગભરાટ નથી થતા. બીજો શબ્દ તે “મેઝ” – એટલે સમસ્યા, ઉલઝન, ચક્રવ્યૂહ. ઊંચી દીવાલ કે વાડને લીધે એમાં પ્રવેશનારાં ગુંચવાઈ જાય, ગભરાઈ જાય. ચિકિત્સાર્થે વપરાય તેવી આ રચના નથી. પણ ભુલભુલામણીનો ઉપયોગ તો અવશ્ય મૌલિક જ છે.
સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે
નોંધ: સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર -
નામમાં શું? કશું નહીં, છતાં ઘણું બધું
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
પહેલી નહીં, બીજી કે ત્રીજી નજરે પણ ગતકડું લાગે એવી એ ચેષ્ટા છે. સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર એની પૂરતી મજાક પણ ઊડાવાઈ છે. આમ છતાં, એ ચેષ્ટા કરનારનો પક્ષ જાણવા જેવો છે. વાત ફ્રાન્સની છે. ફ્રાન્સના એક નગર ‘પેન્ટીન’(Pantin)ના નામની જોડણીમાં તેના મેયર બર્ટ્રાન્ડ કર્ને મામૂલી ફેરફાર કર્યો છે અને છેવાડે ‘e’ ઉમેર્યો છે. આને કારણે આ નગરના નામના ઉચ્ચારમાં પણ ‘પેન્ટાઈન’ જેવો મામૂલી ફેરફાર થયો છે. કર્નના જણાવ્યા અનુસાર આ નામ એક વરસ સુધી અમલી રહેશે. ક્યાંય પણ, એકે બૉર્ડ પર કે અધિકૃત પત્રવ્યવહારમાં આ ફેરફાર નહીં થાય. ફક્ત એક નહેર પાસે મોટા અક્ષરે મૂકાયેલા આ નગરના નામમાં જ વધારાનો અક્ષર ઉમેરાશે.
આમ કરવા પાછળનું કર્ન દ્વારા જણાવાયેલું કારણ રસપ્રદ છે ને તેને લીધે એ મજાકને પાત્ર બની રહ્યા છે. કર્નના કહેવા અનુસાર આ રીતે વધારાનો અક્ષર ઉમેરવાથી નામ સ્ત્રૈણ લાગશે. પણ આ અક્ષર અંગ્રેજી ‘ઈ’ જ કેમ? અંગ્રેજી શબ્દ ‘ઈક્વેલિટી’નો અર્થ થાય છે ‘સમાનતા’. એ રીતે આ અક્ષર ‘સ્ત્રી અને પુરુષ વચ્ચેની સમાનતા’ સૂચવે છે. અંગ્રેજી શબ્દ ‘એન્ડ‘નો અર્થ ‘અંત’ થાય છે. આ અંગ્રેજી શબ્દનો પણ ‘ઈ’ પ્રથમાક્ષર છે, જે ‘મહિલાઓ પર થતા અત્યાચાર’નો ‘અંત’ સૂચવે છે. આવી ઉટપટાંગ વાત સાંભળીને હસવું આવ્યા વિના રહે નહીં, કેમ કે, આપણને થાય કે આવાં ગતકડાં કરવાથી કંઈ સ્ત્રી- પુરુષ વચ્ચે સમાનતા સ્થપાઈ જવાની છે કે મહિલાઓ પરના અત્યાચારનો અંત આવી જવાનો છે? એના માટે બીજા અનેક ઉપાયો વિચારી શકાય.
બર્ટ્રાન્ડ કર્ન પણ કંઈ એવા ભ્રમમાં નથી કે નામમાં ફેરફાર કરવાથી આવું બધું રાતોરાત થઈ જાય. તેમની વાત સ્પષ્ટ છે કે હજી એકવીસમી સદીમાં પણ આપણું જગત પુરુષપ્રધાન, બલકે પુરુષકેન્દ્રી રહ્યું છે. તેઓ કહે છે કે હજી પણ પુરુષની સરખામણીએ મહિલાઓને વેતન ઓછું ચૂકવવામાં આવે છે, કેટલાય વ્યવસાયો મહિલાઓ માટે પ્રતિબંધિત છે. આટલું ઓછું હોય એમ જાહેર સ્થાન પર મહિલાના હોવાને પુરુષો ઝટ સ્વિકારી શકતા નથી. ફ્રાન્સની જ વાત કરીએ તો, મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વમાં વૃદ્ધિ થવા છતાં લિંગભેદ સામાન્ય બાબત છે અને કાચની એ દિવાલ વાસ્તવિકતા છે. ફ્રેન્ચ સરકારની ‘હાઈ કાઉન્સિલ ફૉર ઈક્વેલિટી’ના એક અહેવાલ અનુસાર દસ પૈકીની છ ફ્રેન્ચ મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ જાતીય સતામણી કે શેરી યા જાહેર પરિવહનમાં અપમાનનો ભોગ બને છે. ૪૬ ટકા મહિલાઓ કાર્યસ્થળે અને ૪૬ ટકા મહિલાઓ ઘરમાં જાતીય સતામણી વેઠે છે, જ્યારે ૫૭ ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ ‘રમૂજ’ના ઓઠા હેઠળ જાતીય ટીપ્પણીનો ભોગ બને છે. ફેબ્રુઆરી, ૨૦૨૨ દરમિયાન, ત્રણ હજાર ફ્રેન્ચ લોકોની મોજણીનાં આ પરિણામ હતાં.
આ નગરના નામમાં ફેરબદલ એ બાબતને પ્રતિબિંબીત કરવાની તક છે કે આપણી પ્રણાલિઓ, સ્થળો, ટેક્નોલોજિ અને માળખાકીય સુવિધાઓ પુરુષો દ્વારા અને પુરુષો માટે જ તૈયાર કરવામાં આવે છે. કારની સલામતિનાં પરીક્ષણ સુદ્ધાં પુરુષના કદનાં પૂતળાં થકી કરવામાં આવે છે. અવાજ પારખતાં સોફ્ટવેર મહિલાઓના અવાજની સરખામણીએ પુરુષનો અવાજ સરળતાથી પારખી લે છે.
આવી વિગતો જણાવનાર કર્ન પોતાની આ હરકત બદલ ભરપૂર મજાકને પાત્ર બન્યા. લોકોએ જાતભાતની ટીપ્પણીઓથી તેમને નવાજ્યા. પણ પોતાના આ નિર્ણયમાં તેઓ મક્કમ રહ્યા. તેમનું એ જ કહેવું હતું કે એક વર્ષ પૂરતું નામ બદલવાથી કોઈ નારીવાદી ક્રાંતિ થઈ જવાની નથી. પણ આ હરકત કેવળ એ બાબત નીચે ગાઢ લીટી દોરવાની છે કે હજી એકવીસમી સદીમાં પણ કેટલીય ચીજોમાં પરિવર્તનની જરૂર છે. હજી આપણું વિશ્વ પુરુષપ્રધાન છે.
ફ્રાન્સના આ નગરની વાત ઘડીક બાજુએ મૂકીને ઘરઆંગણે ભારતમાં શી સ્થિતિ છે એ જોઈએ. આપણી સંસ્કૃતિમાં માતૃત્વનો અનોખો મહિમા કરવામાં આવ્યો છે, પણ વ્યાવસાયિક કારકિર્દીના ક્ષેત્રે માતૃત્વ અભિશાપ સમું બની રહે છે. ખાસ કરીને ઉડ્ડયન, શિક્ષણ, રીઅલ એસ્ટેટ, ઈન્ફર્મેશન ટેક્નોલોજિ, ઈ-કૉમર્સ જેવાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં! સગર્ભાવસ્થા દરમિયાન મહિલામાં શારિરીક ઉપરાંત ભાવનાત્મક પરિવર્તન પણ આવતાં હોય છે, પણ તેને સહજતાથી સ્વિકારી શકાય એવું વાતાવરણ મોટા ભાગનાં કાર્યસ્થળે જોવા મળતું નથી. પ્રસૂતિ માટે મહિલાને રજા અપાય છે, પણ રજા પરથી આવ્યા પછી તેણે ત્યાંથી જ શરૂ કરવાનું હોય છે, જ્યારથી તે રજા પર ઊતરી હતી. ‘સીસ્કા’ જૂથનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જ્યોત્સ્ના ઉત્તમચંદાણીના જણાવ્યા અનુસાર મોટા ભાગનાં કાર્યસ્થળે એવી જ માન્યતા પ્રવર્તે છે કે પ્રસૂતિ પછી આવતી કે માતા હોય એવી મહિલા ઓછી સક્ષમ અને પ્રતિબદ્ધ હોય છે. ‘મોદીકેર’ના મેનેજિંગ ડિરેક્ટર સમીર મોદી કહે છે, ‘કાર્યક્ષેત્રોમાં લોકોની માનસિકતાને જ બદલવાની જરૂર છે.’ ‘કૅશકરો’નાં સહસ્થાપક સ્વાતિ ભાર્ગવ માને છે કે બાળક હોવું એ કોઈ પણ રીતે અવરોધક ન હોવું જોઈએ. લોકોના દૃષ્ટિકોણને બદલવાની જવાબદારી કંઈ એકલી મહિલાની નથી. મહિલાઓનો જે સામાજિક પરિસ્થિતિમાં ઉછેર થાય છે એમાં પણ પરિવર્તન આવવું જોઈએ.
આ બાબત મહિલાની વ્યાવસાયિક કારકિર્દીના ક્ષેત્રે પ્રવર્તી રહેલી પરિસ્થિતિને અમુક અંશે ઉજાગર કરે છે. આવું ફક્ત આપણા દેશમાં જ છે એમ માનવાની જરૂર નથી. ‘પ્રગતિશીલ’ ગણાતા દેશોમાં એ કદાચ દેખીતી પ્રતિકૂળ નહીં હોય, પણ ‘કાચની દિવાલ’ જેવી હશે.
આવા માહોલમાં બર્ટ્રાન્ડ કર્નની ‘ચેષ્ટા’ ભલે દેખીતી રીતે હાસ્યાસ્પદ લાગે, પણ એનો હેતુ એકદમ સુયોગ્ય અને મહદ અંશે બધા જ દેશો માટે લાગુ પડે છે એ સ્વીકારવું રહ્યું.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬ – ૦૧ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)b -
માનવા કે ન માનવાની છૂટ છે!
હરેશ ધોળકિયા
આપણી આસપાસ એવા કેટલાય મુદાઓ છે જેને જાણીએ ત્યારે તે માનવા કે ન માનવા તેની મૂંઝવણ થતી હોય છે. અને તે મુદા જયારે ધાર્મિક કે પૌરાણિક સંદર્ભ ધરાવતા હોય, ત્યારે તો ભારે મૂંઝવણ થાય છે. કારણ એ હોય છે કે આ મુદાઓ બાબતે એટલી વિચિત્ર ચર્ચાઓ થતી હોય છે અને તેને એવી તો વિચિત્ર રીતે સમજાવવામાં આવે છે કે, વૈજ્ઞાનિક ચિત્ત હોય તો, માનવાનું મન ન જ થાય. ધાર્મિક ઉપદેશકો અગડંબગડ રીતે, મારી મચડીને, સમજાવતા હોય છે જે લગભગ અવેજ્ઞાનિક હોય છે. અતિ શ્રધ્ધાળુઓ કે મૂઢો માની શકે, શિક્ષિત તો ન જ માની શકે. શિક્ષિતને તો ‘ પૂરાવા” જોઈએ.આવો એક મુદો છે “પુનર્જન્મ.” મૃત્યુ પછી પુનર્જન્મ થાય છે કે નહીં તે હજારો વર્ષોથી ચર્ચાતો મુદો રહ્યો છે- સમગ્ર વિશ્વમાં. આમ તો એ મુદો ધર્મ સંબંધી મનાય છે. એટલે અન્ય શાસ્ત્રો તેમાં રસ ન લે તે સ્વાભાવિક છે. પૂર્વમાં તો પરંપરાગત માની લેવાય છે, પણ પશ્ચિમમાં તો ‘ પૂરાવા’ વિના ન જ માને. પણ થોડા વર્ષોથી ત્યાં પણ આ વિષયમાં રસ લેવાનું શરુ થયું છે અને તેનો ” પેરાસાઈકોલોજી” અથવા તો ” એકસ્ટ્રા સેન્સરી પાવર્સ” શીર્ષક હેઠળ અભ્યાસ કરાય છે. જબરા અભ્યાસો થાય છે. જિજ્ઞાસુઓને આનંદ આવે તેવા. તેમાં પણ થોડાં વર્ષો પહેલાં ડો. બ્રાયન વીસ નામના એક મનોચિકિત્સકે જયારે આ વિષય પર ” મેની લાઈવ્સ મેની માસ્ટર્સ” નામે પુસ્તક પ્રકાશિત કર્યું, ત્યારે તો વિચાર જગતમાં, ખાસ કરીને મેડિકલ જગતમાં,
હડકંપ મચી ગયો. એ પુસ્તકમાં તેમણે પોતાની એક એવી દર્દની વાત કરી છે જેણે સારવાર દરમ્યાન, હિપ્નોસીસમાં, પોતાના અનેક જન્મોનું આબેહૂબ વર્ણન કર્યું છે. શરુઆતમાં તો ડો. બ્રાયને પણ ન માન્યું, પણ પછી એવી એવી વિગતો બહાર આવવા માંડી કે તે પણ ચકિત થતા ગયા અને માનવાની ફરજ પડી. એ મુદો બહુ મોટો છે. કયારેક વાત કરશું, પણ આ પુસ્તક બહાર પડ્યા પછી જગત ખળભળી ગયું અને અનેક અભ્યાસો શરુ થયા છે. આવા, માની ન શકાય તેવા, અનેક બનાવો નોંધાવા લાગ્યા છે.ડો. બ્રાયને આ પુસ્તક પછી બીજું પુસ્તક પ્રગટ કર્યું-” થ્રુ ટાઈમ ઈન ટુ હીલીંગ.” આમાં તેમણે આગળના જન્મમાં લઈ જવાની જે ટેકનીક છે ( પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરાપી) તે વિશે વિગતવાર ચર્ચા કરી છે. તેમાં જવાની જરુર નથી, પણ તેમાં થોડા આવા દાખલાઓ આપ્યા છે જેનો સામાન્ય લોકો અજાણતાં અનુભવ કરતા હોય છે,પણ કહેતાં ડરતા હોય છે, એ નોંધવા યોગ્ય છે. રસ પડે તેવા છે.
ડો. બ્રાયન એક મહિલા મંડળના કાર્યક્રમમાં ગયા હતા. આ મહિલાઓ બૂક કલબ ચલાવતી હતી. દર મહિને નવાં પુસ્તક વિશે ચર્ચાઓ કરતી. એક વખત તેમણે ડો. બ્રાયનનું આ ‘ મેની માસ્ટર્સ મેની લાઈવ્સ’ પુસ્તક પસંદ કર્યું અને ડોકટરને જ તે વિશે વાત કરવા બોલાવ્યા. ડોકટરે વાત કર્યા પછી મહિલાઓને પૂછયું કે તેમને આવા કોઈ અનુભવો થયા હતા. તો, નવાઈ વચ્ચે, લગભગ બધી જ બહેનોએ આવા અનુભવોની વાત કરી. તે અનુભવો આવા હતા…..એક બહેને કહ્યું કે તેને એક વાર સ્વપ્નામાં તેની નાની આવી. તે વૃધ્ધ હતાં, પણ સ્વસ્થ હતાં. સ્વપ્નમાં તેણે જોયું કે તેના ચહેરા પર પકાશ હતો. તેણે પોતાની દોહિત્રીને કહ્યું, ” હું બરાબર છું. મારી ચિંતા ન કરતી. પણ હવે મારે તારી રજા લેવી પડશે. તારું ધ્યાન રાખજે.” બીજા દિવસે તેને સમાચાર મળ્યા કે દૂરનાં શહેરમાં તેની નાની મૃત્યુ પામી હતી.બીજી મહિલાએ કહ્યું કે તેને સ્વપ્નામાં એક દૂરના સંબંધી આવ્યા. તેમના વિશે તે વિચારતી પણ ન હતી કે લાંબા સમયથી તેનો સંપર્ક પણ ન હતો. સ્વપ્નામાં એ સંબંધીની છાતી લોહીથી ખરડાયેલી હતી. પાછળથી તેને ખબર મળ્યા કે સ્વપ્નના આગળના દિવસે એ સંબંધીનું ઓપન હાર્ટ સર્જરીનું ઓપરેશન થયું હતું.ત્રીજી એક મહિલાએ કહ્યું કે તેને પોતાના પુત્રનું વારંવાર સ્વપ્ન આવતું હતું. તેમાં તે તેને, હકીકતે સ્વસ્થ હોવા છતાં, ઘાયલ દેખાતો હતો. તે પોતાને હોસ્પિટલ રુમમાં જોતી જયાં તેને એક અજ્ઞાત અવાજ સંભળાતો હતો કે ” તે સાજો થઈ જશે.” પણ તેને નવાઈ એ લાગતી હતી કે સ્વપ્નામાં તેના પુત્રના વાળ વધારે કાળા હતા, જે હકીકતે ન હતા. એક મહિનો સતત આ સ્વપ્ન આવ્યું. મહિનાને અંતે તેના પુત્રની સાઈકલ એક કાર સાથે અથડાઈ અને તે ગંભીર ઘાયલ થયો. હોસ્પિટલમાં ડોકટર નક્કી કરી શકતા ન હતા કે તેનું શું થશે, ત્યારે માએ વિશ્વાસથી કહ્યું કે તે સાજો થઈ જશે. પેલો અવાજ તેને યાદ આવતો હતો. છોકરાના માથાં પર પુષ્કળ પાટા હતા. સાજા થવામાં તકલીફ હતી. પણ ધીમે ધીમે સ્વસ્થ થઈ ગયો. જયારે માથાં પરથી પાટા દૂર કરવામાં આવ્યા, પછી મસ્તક મૂંડું કરવામાં આવેલ ત્યાં સમય જતાં ગાઢ કાળા વાળ આવ્યા. પછી મહિલાને ક્યારે આ સ્વપ્ન ન આવ્યું.એક મહિલાનો મિત્ર જે દાંતનો ડોકટર હતો, તેના પાસે અકસ્માત ટાળવા બાબતે જબરી આવડત હતી. એક સાંજે જ્યારે તે પોતાની મિત્રો સાથે એક હોટેલ બહાર ઊભો હતો અને બધાં રસ્તો પસાર કરવા જતાં હતાં, ત્યાં અચાનક તેણે બૂમ મારી કે કોઈએ રસ્તો ક્રોસ કરવાનો નથી. તેણે હાથ લાંબા કરી બધાને રોકી લીધાં. તેને પોતાને પણ ખબર ન હતી કે તે આમ શા માટે કરતો હતો. થોડી પળો બાદ ખૂણામાંથી એક કાર ખૂબ ઝડપથી આવી અને આ બધાની પાસેથી ઝૂ….મ કરતી પસાર થઈ ગઈ. બધાં તો ચકિત થઈ ગયાં. આગળ વધ્યાં હોત તો મોટો અકસ્માત થાત. આ બનાવના થોડા દિવસ પછી ડોકટર કારમાં જતો હતો. તેની પત્ની કાર ચલાવતી હતી. તે પાછળ ઝોકાં ખાતો હતો. પત્નીએ કાર અટકાવી, તો બંધ આંખ સાથે જ અચાનક તે બોલ્યો, ” ટ્રાફિકની લાઈટ બદલે ત્યારે આગળ ન વધજે. કોઈક રેડ લાઈટ છતાં કાર દોડાવશે.” પત્નીએ તેનું માન્યું. લાઈટ ગ્રીન થઈ કે તરત એક કાર સૂસવાટા કરતી પસાર થઈ ગઈ. બન્ને સ્તબ્ધ થઈ ગયાં, પણ બચી ગયાં.એક મહિલા ઘર કામ કરતી હતી ત્યારે તેને અચાનક જ વિચાર આવ્યો કે તેની એક બહેનપણીએ હમણાં જ આપઘાત કર્યો છે. આ બહેનપણી વિશે તેણે તો મહિનાઓથી કોઈ વિચાર કર્યો ન હતો કે તેને કોઈ તેની તકલીફની પણ ખબર ન હતી. છતા આ વિચાર ખૂબ જ સ્પષ્ટ રીતે આવ્યો હતો અને જાણે તે સાચો જ હતો. પાછળથી તેને ખબર મળ્યા કે તે દિવસે જ તેની બહેનપણીએ આપઘાત કર્યો જ હતો.ડો. બ્રાયન લખે છે કે આમાંથી કોઈ જ મહિલાને પેરાસાઈકોલોજી કે એકસ્ટ્રા સેન્સરી પાવર્સ બાબતે કશી જ જાણકારી ન હતી, બીજી મહત્વની બાબત એ હતી કે આ જૂથ બાર વર્ષથી સાથે મળતું હતું, પણ તેમના અનુભવો તેમણે કયારે પરસ્પર કહ્યા પણ ન હતા. તેઓ માનતી હતી કે આવી વાત કરશે તો તેઓ ગાંડી ગણાઈ જશે. વળી, આ બધી બહેનો તદન નોર્મલ સ્ત્રીઓ હતી. તેમના પાસે કોઈ વિશિષ્ટ શકિતઓ પણ ન હતી. તેમને પુનર્જન્મ કે સ્વપ્નશાસ્ત્ર વિશે પણ કોઈ જ ખ્યાલ ન હતા. પણ તેમને આ અનુભવો થયા તો હતા જ.ડો. બ્રાયન કહે છે કે આવા અનુભવો હજારો લોકોને જાણે અજાણ્યે થતા હોય છે. માત્ર નોંધાતા નથી. એટલે પુનર્જન્મ છે કે નહીં, સ્વપ્નાં સાચાં પડે છે કે નહીં, એ ચર્ચાનો મુદો તો છે જ, પણ જયારે એક સંશોધક આ બાબતે કોઈ ચર્ચા કરે, ત્યારે ચોકકસ ધ્યાન ખેંચાય અને વિચાર કરવાની ફરજ પડે. આ સંશોધકો કોઈ શાસ્ત્રને આંધળી રીતે માનતા નથી હોતા. તેઓ સેંકડો પ્રયોગો કર્યા પછી, તેનું ઊંડાણથી પૃથ્થકરણ અને અભ્યાસ કર્યા પછી, જ પોતાનું સંશોધન બહાર પાડતા હોય છે. તેને પણ અંતિમ માનતા નથી હોતા. તેઓ શ્રધ્ધાળુ નથી હોતા. જબરા શંકાશીલ અને સંશયવાદી હોય છે.
એટલે જયારે તેઓ આવી બાબતો વિશે લખે, ત્યારે ચોકકસ ધ્યાન ખેંચાય અને વિચારપૂર્વક નોંધ લેવી પડે.તેમની ” મેની લાઈવ્સ મેની માસ્ટર્સ” અવશ્ય વાંચવા જેવી છે. એક મગજ કેટકેટલું – જન્મોના જન્મો- સંઘરી રાખે છે તે તેને વાંચી ખ્યાલ આવે છે.માનવું કે ન માનવું તે આપણી સ્વતંત્રતા છે. -
પગદંડીનો પંથી – ભાગ ૧ – (૨૩) – વધુ પડતો વિશ્વાસ કે બેદરકારી
એક અજાણ્યા સર્જનની જિંદગીની વાતો
ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસપાસ થયા અને ડિગ્રી મળી ગઈ એટલે કોઈપણ ડૉક્ટરનું ભણવાનું, શીખવાનું બંધ નથી થઈ જતું! એટલે જ ડૉક્ટરો સેમિનાર, કૉન્ફરન્સ અને જાત મહેનતથી up to date રહેવાનો પ્રયત્ન કરતા રહે છે. આત્મશ્રદ્ધા હોવી જરૂરી છે, પણ પોતાની જાત અને આવડત પરનો વધારે પડતો વિશ્વાસ ખતરનાક સાબિત થાય છે. ચોપડી વાંચીને દરિયામાં નાવ તરાવી ના શકાય! જેમ દરેક માણસ જુદો છે, તેમ બધાનાં Appendix જુદાં હોય છે, અને દરેક Appendicitisનો રોગ પણ જુદા-જુદા સ્ટેજ વખતે પુરુષ, સ્ત્રી, બાળક અને વૃદ્ધોમાં જુદી-જુદી રીતે ડૉક્ટરની સામે આવે છે, એટલે માત્ર પુસ્તકિયા જ્ઞાન સાથે પ્રૅક્ટિસ કરવા નીકળેલા ડૉક્ટરો-સર્જનો શરૂઆતના તબક્કામાં ઘણી ભૂલો કરતા જોવા મળે, અને એટલે જ થોડો અનુભવ મેળવવા કોઈ સીનિયરના આસિસ્ટન્ટ તરીકે કામ કરવું, કે કોઈ મોટી હોસ્પિટલમાં ટ્રેઇન થવું જરૂરી હોય છે. પણ આખરે તો જ્ઞાનની પંચેન્દ્રિયો સાથે છઠ્ઠી ઇન્દ્રિય વાપરવાની આવડત અને દરેક સમયે માનસિક રીતે સક્ષમ રહેવું જરૂરી હોય છે.
પરંતુ આવું ઘણીવાર બનતું નથી હોતું.
ડૉક્ટર પરેશને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરવાનો અનુભવ ખૂબ કામ આવ્યો હતો. ઘણીવાર એવું બનતું, કે અન્ય સર્જન/Gynaecologistની હોસ્પિટલમાં તેને મુસીબતના સમયે બોલાવવામાં આવતો, ત્યારે તેને કહેવાનું મન થઈ જતું કે, “પહેલીવાર નવો કેસ હાથમાં લેતા હોય, ત્યારે પહેલેથી જ બીજા ડૉક્ટરની મદદ કેમ લેવામાં ના આવી?”
ડૉ. પરેશ જમીને ત્રણેક વાગ્યે આરામથી સૂઈ ગયા હતા, ત્યાં જ ફોન રણક્યો, “ઑપરેશન થિયેટરમાં આપને અમુક ડૉક્ટર બોલાવે છે.”
ડૉ. પરેશને સમજતાં વાર ન લાગી કે હવે કંઈક અજુગતું બની ગયું હશે. તરત તૈયાર થઈ ઓટીમાં પહોંચ્યા. ઓટી માટે જરૂરી એવાં કેપ, માસ્ક, ગાઉન ચડાવીને ડૉક્ટર સાથે જોડાયા. જોયું તો એક સ્ત્રી દર્દીને Cystocele હતું તેનું ઑપરેશન કરતાં આંતરડાં તેના પ્રાઇવેટ ભાગમાં આવી ગયાં હતાં. દર્દી ૪૫ વર્ષની આધેડ બહેન. પેશાબની કોથળીનો ફુગ્ગો થાય, જનનેન્દ્રિયમાં દેખાય એને Cystocele કહેવાય.
ડૉ. પરેશે જોયું કે દર્દીને પેશાબની નળી નાખવી જોઈએ તે હતી નહીં. કેથેટર (ટોટી) નાખીને જોયું તો એ પણ આંતરડા સાથે જ બહાર આવતી હતી, એટલે કે પેશાબની કોથળી કપાઈ ગઈ હતી.
ડૉ. પરેશને લાગ્યું કે હવે પેટ ચીરીને જ બધું રિપેર થઈ શકે. હવે દર્દીના સગાંને જાણ કરવી જરૂરી હતી કે બીજું મોટું ઑપરેશન કરવું પડે એમ છે. અત્યાર સુધી કમરનો નીચેનો ભાગ બહેરો કરીને (Spinal Anaesthesia)માં જ આ બધું થયેલું, હવે GA (General Anaesthesia) આપવું પડે તેમ હતું.
ડૉ. પરેશે બહાર દરવાજા આગળ જઈને સગાંને જાણ કરી કે પેટ ચીરીને ઑપરેશન પૂરું કરવું પડશે. એટલે વાર લાગશે, અને મોટું ઑપરેશન છે. (જેણે ઑપરેશન કર્યું હતું એણે આટલી કાપકૂપ કેવી રીતે કરી એ તો એ જ જાણે!)
ડૉ. પરેશે Exploratory Laparotomy, એટલે કે શું નુકસાન થયું છે તે જોવા પેટ ખોલ્યું. અને અરે ભગવાન, આ શું થઈ ગયું છે?
આખું Bladder (પેશાબની કોથળી) ટુકડે-ટુકડે કાપી નખાયું હતું, બંને કિડનીઓમાંથી પેશાબ લાવતી નળીઓ છુટ્ટી હતી. આંતરડાને સામાન્ય ઈજાથી વધારે નુકસાન નહોતું, પણ આ કલ્પના બહારનું હતું કે કોઈએ Cystocoleનું ઑપરેશન કરતાં આખું Bladder જ કાઢી નાખ્યું હોય! શું કરવું?
એક તો Urosurgeon (પેશાબના દર્દોના નિષ્ણાત) મળે એમ નહોતા, જે કંઈ કરવું પડે, એ ડૉ. પરેશે જ કરવાનું હતું.
ખૂબ વિચાર કર્યા પછી ડૉ. પરેશને સમજાયું કે દર્દીને બચાવવો હોય તો કિડનીમાંથી નીકળતી નળીઓને બંધ કરાય નહીં. એણે બંને કિડનીઓમાં પાતળી ટ્યૂબ નાખીને બહારના પેશાબના રસ્તે કાઢી, અને બેગમાં પેશાબ એકઠો કરવાની વ્યવસ્થા ઊભી કરી.
Bladderની કોથળીના તો ટુકડેટુકડા કાપી કાઢેલા. કોઈ સંજોગોમાં એ ફરીથી રિપેર થાય એમ નહોતું. બની શકે, કે Urosurgeon કદાચ Rectum (મોટા આંતરડાનો નીચેનો ભાગ) વાપરીને નવું બ્લેડર જેવું બનાવે. પણ એ કામ અત્યારે ડૉ. પરેશ કરી શકે નહીં. દર્દીને તાત્કાલિક Urosurgeonને જ રિફર કરવો પડે તેમ હતું.
બે-ત્રણ કલાકની મહેનત પછી ડૉ. પરેશ ઓટીની બહાર આવ્યો, અને સીધો ઉપરી અધિકારીની જાણ માટે એમની ઑફિસે જઈ બધી હકીકતથી અવગત કરાવ્યા. તેમણે ડૉ. પરેશ પાસે સંપૂર્ણ હકીકત લેખિતમાં માગી, તે પણ તેણે સ્કેચ દોરીને લખી આપી. કોઈ પણ ના માને એવું કાર્ય એક બિનઅનુભવી, વધારે પડતા ઉત્સાહી Gynaecologistથી થઈ ગયું હતું.
આ દર્દીને Urosurgeonને ત્યાં મોકલી અપાયો, કે બીજું કંઈ થયું, એ ડૉ. પરેશને ખબર ના પડી, કારણ કે બીજા દિવસે એને પોતાના અંગત કામે પોતાના ગામ જવાનું થયું હતું.
આવીને તપાસ કરી તો ઑપરેશન કરનાર ડૉક્ટરે કે તેના ઉપરીએ કંઈ જ માહિતી આપી નહીં. સગાંઓ પણ કોણ હતાં તે ખબર પડી નહીં, તેઓ ક્યારેય ફરીથી જોવામાં આવ્યાં નહીં. ડૉ. પરેશને હજી સુધી ઘણીવાર એ પ્રસંગ યાદ આવે અને બેહદ દુઃખી થાય છે, કે શું બની ગયું હશે?
એવા જ એક ડૉક્ટરે સ્ત્રી નસબંધીનું ઑપરેશન કર્યું. ત્રીજા દિવસે પેટના ઘામાંથી પેશાબ સાથે ચેપ (Infection)ની રસી આવવા માંડી. કેસ ડૉ. પરેશને રિફર થયો.
ચોખ્ખું જ હતું, કે Fallopian Tubes (અંડકોશવાહિની)ને બંધ કરતાં Bladder (પેશાબની કોથળી)ને નુકસાન થયું હતું, અન એ પેશાબ પેટમાં ભરાતાં ચેપ થયો હતો.
પેટ ફરીથી ચીરી જોઈને નુકસાન પામેલા Bladderને સાંધવું પડે.
દર્દી ૩૫ વર્ષનાં બહેન અને તેનો પતિ જે સારી સરકારી નોકરીમાં હતો, તે ગભરાયાં. પણ ડૉ. પરેશ પર વિશ્વાસ મૂક્યો, અને ફરીથી ઑપરેશન માટે તૈયાર થયાં.
ડૉ. પરેશે ફરીથી પેટ ચીરીને ઑપરેશન કર્યું. ફાટેલી પેશાબની કોથળી Watertight સીવી લીધી, અને પેશાબની ટોટી લાંબા સમય સુધી રાખવાની તાકીદ કરી, કેસ પાછો સોંપ્યો.
એ બહેનને સારું થઈ ગયું તેના એકાદ મહિના પછી એક દિવસ બંને પતિ-પત્ની ડૉ. પરેશને ઘરે મળવા આવ્યાં.
“સાહેબ, આપનો ખૂબ આભાર, આપે જીવનદાન આપ્યું.”
“ભાઈ ખાસ નુકસાન નહોતું, અને મેં જે કર્યું છે તે મારા કામનો જ એક ભાગ છે.”
“સાહેબ, એક સલાહ લેવી છે.”
“બોલો.”
“અમે એ ડૉક્ટર ઉપર કેસ કરીએ?”
ડૉ. પરેશ ધર્મસંકટમાં મુકાયો. હા કહે, તો ડૉક્ટર સાથે સંસ્થાનું નામ પણ બગડે. આ કેસ રાજકીય પણ હતો, કારણ કે ‘નસબંધી’ (સ્ત્રી-પુરુષ)નું અભિયાન ચાલતું હતું.
“ભાઈ, જે થવાનું હતું તે થઈ ગયું છે, અને એનાથી બહેનને કંઈ તકલીફ થવાની નથી. આવા સ્ત્રી નસબંધીના ઑપરેશનમાં કોઈવાર અજાણતાં આમ થાય છે. આવા ઘણા કેસ નોંધાયેલા છે, એટલે કોર્ટમાં પણ કદાચ તમારી ફેવરમાં નિર્ણય ના આવે. બને તો એમાં ના પડો તો સારું.”
“ભલે સાહેબ, આપની વાત સાચી. આપનો ફરીથી આભાર માનીએ છીએ.”
ડૉ. પરેશે આથી વધારે શું કરી શકે?
ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
મતદાર ઓળખપત્ર અને આધારકાર્ડનું જોડાણ : ફરજિયાત કે મરજિયાત ?
નિસબત
ચંદુ મહેરિયા
ચૂંટણી સુધારાની દિશામાં નોંધપાત્ર મનાતું ચૂંટણી કાયદો(સુધારા) વિધેયક ૨૦૨૧ સંસદમાં ચર્ચા વિના અને સંસદ બહાર વ્યાપક લોકપરામર્શ વિના પસાર થયું હતું. એટલે તે કાયદો બન્યા પછી પણ વિવાદ અને રાજકીય ચર્ચાનો વિષય છે. ૧૯૫૦ના લોકપ્રતિનિધિત્વ કાયદાની કલમ ૨૩માં સુધારો કરતો આ કાયદો કેટલીક મહત્વની જોગવાઈઓ ધરાવે છે. કાયદામાં પત્નીને બદલે વપરાયેલો જીવનસાથી શબ્દ, અઠાર વરસ પૂર્ણ કરનારા નવા મતદારની વરસમાં એક જ વાર પહેલી જાન્યુઆરીએ નોંધણીને બદલે વરસમાં ચાર વાર(જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓકટોબર) નોંધણી, જેવી સારી જોગવાઈઓ કરતાં આ કાયદો મતદાર ઓળખપત્ર અને આધાર કાર્ડના જોડાણ અને તેની અસરો બાબતે વધુ ચર્ચામાં છે.
ભારતના લોકો રેશનકાર્ડ, વોટરકાર્ડ, પાનકાર્ડ અને આધારકાર્ડ જેવા ઓળખ, રહેઠાણ અને નાગરિકતાના સરકારી દસ્તાવેજો ધરાવે છે. તે સૌમાં ૨૦૦૯માં અવતરિત આધારકાર્ડ વધુ વિશ્વસનીય અને વ્યાપક છે. ડિસેમ્બર ૨૦૨૧માં ૯૯.૭ ટકા પુખ્ત ભારતીયો પાસે આધારકાર્ડ હોવાનો દાવો કરાયો હતો. આધારકાર્ડ સાથે બેન્ક એકાઉન્ટ, રેશનકાર્ડ, પાનકાર્ડ પછી હવે મતદાર ઓળખપત્રનું જોડાણ કરવાનું નક્કી થયું છે. ચૂંટણી પંચ, સરકાર અને સુપ્રીમ કોર્ટ સુધ્ધાં આધાર અને વોટર આઈડીનું લિંકેજ સ્વૈચ્છિક હોવાનું તો જણાવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ જોડાણ મરજિયાત છતાં ફરજિયાત જેવું છે.
બાયોમેટ્રિક ડેટાના આધારે ફાળવેલી બાર આંકડાની વિશિષ્ટ ઓળખનું બનેલું આધારકાર્ડ સબ દુ:ખોં કી એક દવા જેવું બની ગયું છે. ચૂંટણી સુધારા માટે પણ આધાર સાથે મતદાર યાદી અને મતદાર ઓળખપત્રનું જોડાણ થઈ રહ્યું છે. એક તરફ આ જોડાણનો વિરોધ થઈ રહ્યો છે તો ૨૦૨૧માં ૨૦ કરોડ મતદારોએ જોડાણ કરાવી દીધું હતું.
આધારના વોટર આઈડી સાથેના જોડાણથી ચૂંટણીઓ વધુ સ્વતંત્ર, તટસ્થ અને તૃટિરહિત બનશે એવો સરકારનો દાવો છે. મતદાનના દિવસે મતદાર યાદીમાં નામ ન હોવાની ફરિયાદો ઉઠે છે અને રાજકીય પક્ષો મતદારયાદીમાં ઘાલમેલ થયાના આરોપ લગાવે છે. આધારના જોડાણથી આ ફરિયાદ દૂર થવાનો ઉદ્દેશ છે. ઉપરાંત લિંકેજથી સ્થળાંતરિત મતદારોને તેમના કામના સ્થળે મતદાનનો લાભ મળી શકે છે. બેવડા મતદારો અને બેવડા ઓળખપત્રો અટકશે. પ્રોક્સી મતદાન સરળ બનશે.બોગસ મતદાન અને નકલી મતદારો પર રોક લગાવી શકાશે. ભવિષ્યમાં ઈલેકટ્રોનિક કે ઈન્ટરનેટ આધારિત મતદાનમાં સહાયરૂપ થશે. ટૂંકમાં આધારકાર્ડ સાથેના જોડાણથી સમગ્ર ચૂંટણીપ્રક્રિયા આસાન બનશે.
જોકે જોડાણના વિરોધીઓ ફાયદાના દાવા સ્વીકારતા નથી. આધારકાર્ડની વ્યાપકતા સ્વીકારનારા પણ તે પૂર્ણ વિશ્વસનીય હોવાનું માનતા નથી. માહિતી અધિકાર કાયદા હેઠળ મળેલી માહિતીમાં દેશમાં આઠ કરોડ નકલી આધારકાર્ડ હોવાનું જણાવાયું છે. ‘કેગ’ના એક રિપોર્ટમાં પાંચ લાખ ડુપ્લીકેટ આધારકાર્ડ હોવાનું કહેવાયું હતું.આધારની અધિકૃતતાની ચકાસણીમાં બાર ટકા ક્ષતિ માલુમ પડી છે. આધારકાર્ડ નાગરિકતાનો પુરાવો નથી, જ્યારે મતદાર ઓળખપત્ર છે. એટલે બંને કાર્ડ સમાન ન હોઈ જોડાણ થઈ શકે નહીં. આધારકાર્ડ અને વોટર આઈડી લિંક કરવાનો કોઈ લાભ ન હોવાની વિરોધીઓની આ બધી દલીલોમાં વજુદ લાગે છે.
આધાર સાથેના બીજા કાર્ડના જોડાણમાં જે એક સામાન્ય મુશ્કેલી જણાઈ છે તે વ્યક્તિના અંગ્રેજી નામની જોડણી છે. અંગ્રેજી નામના સ્પેલિંગમાં નજીવા ફેરથી પણ લિંકેજ થતું નથી. લિંકેજ ઓફલાઈન અને ઓનલાઈન થઈ શકશે તેવા વહીવટીતંત્રના દાવા છતાં નામના અંગ્રેજી શબ્દની જોડણીમાં સુધારો કરાવવાનું કામ વ્યક્તિ માટે સમય અને નાણાની દ્રષ્ટિએ ખર્ચાળ છે.
લિંકેજની મુશ્કેલી હલ થયા પછી જોડાણના ઉદ્દેશો પાર પડે છે કે કેમ અને આ કામમાં નિર્દોષ ગરીબો તો દંડાતા નથી ને? તે વિચારવાનું રહે છે. રેશનકાર્ડનો આધાર લિંકેજનો હેતુ જાહેર વિતરણ વ્યવસ્થાની ખામીઓ અને ભ્રષ્ટાચાર દૂર કરવાનો હતો. પરંતુ અનુભવે જણાયું છે કે રેશન અને આધારકાર્ડનું લિંકેજ ના થવાનો ભોગ ગરીબો બન્યા છે અને તેઓ અનાજ વગરના રહ્યા છે. લિંકેજના અભાવે રદ થયેલા ૯૦ ટકા કાર્ડ સાચા હોવાનું પુરવાર થયું છે. ભૂતિયા રેશનકાર્ડ તો દૂર ના થયા પણ સાચા રેશનકાર્ડધારકોને સહન કરવું પડ્યું છે. જાહેર વિતરણ વ્યવસ્થાની ખામી કે ભ્રષ્ટાચાર માત્ર ભૂતિયા કાર્ડ જ નથી પરંતુ દુકાનદાર સમયસર અનાજ ના આપે, વજનમાં ઓછું આપે અને હલકી ગુણવત્તાનું આપે તે છે. જોડાણથી આ ખામી દૂર થતી નથી.
એક અભ્યાસ પ્રમાણે એક મતવિસ્તારમાં લગભગ ૨૫ હજાર સંદિગ્ધ મતદારો હોય છે. જો તેમના આધારકાર્ડનું મતદારયાદી અને ઓળખપત્ર સાથે લિંકેજ થઈ ગયું હોય તો તેમને મતદાન કરતા રોકી શકાતા નથી. ઓછા અંતરથી ઉમેદવારની હારજીતમાં આવા મતદારોની મોટી ભૂમિકાને આધારકાર્ડ સાથેના જોડાણથી અટકાવી શકાતી નથી. તેટલે અંશે ચૂંટણી પ્રક્રિયા દૂષિત જ રહે છે.ચૂંટણીપંચે વધુ ચોક્સાઈભરી અને અધ્યતન મતદાર યાદી તૈયાર કરવાની પોતાની જવાબદારીથી હાથ ખેંચી લઈને ચૂંટણી સુધારાના નામે જોડાણનો તુક્કો લડાવ્યો છે. જે ભાગ્યે જ ઉદ્દેશો પૂરા કરશે.
મતદારની પ્રાઈવસીના અધિકારને સુપ્રીમ કોર્ટે મૂળભૂત હક ગણ્યો છે. જોડાણના કારણે મતદારની ઘણીબધી માહિતી સત્તાપક્ષને પહોંચી શકે છે અને તેની નિજતા જોખમાય છે. આધાર સાથે લિંક ના થવાથી મતદારનો મતદાનનો હક છીનવાશે નહી અને જોડાણ સ્વૈચ્છિક છે, તેવી ખાતરી એટલે પણ બોદી લાગે છે કે જે મતદાર આધાર સાથે લિંકેજ ન કરાવે તેણે તેના પર્યાપ્ત કારણો આપવાના હોય છે. આ નિયમને કારણે તથા લિંકેજની કામગીરી કરતા કર્મચારીઓને ફાળવેલા સો ટકા કામગીરીના લક્ષ્યાંકો પરથી જોડાણ કરાવવું ફરજિયાત બને છે.
જોડાણ કરાવવાની સમયમર્યાદા ચૂંટણીપંચે માર્ચ ૨૦૨૩ની ઠરાવી છે. એટલે આ બાબત તેના માટે તાકીદની હોવાનું અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી તેના આધારે કરાવવાની તૈયારી લાગે છે. પાનકાર્ડધારકોની મર્યાદિત સંખ્યા છતાં તેના આધાર સાથેના જોડાણની સમયમર્યાદા સતત વધારાઈ છે. પરંતુ વોટર આઈડી સાથેનું જોડાણ જે ઝડપે થઈ રહ્યું છે તે જોતાં ઝાઝો મુદત વધારો મળશે નહીં.
વ્યાપક સંસદીય અને લોકપરામર્શ વિનાનો આ કાયદો અને તેનું અમલીકરણ ગરીબો માટે નુકસાનકારક બની શકશે. એ જ લોકતંત્ર સાર્થક ગણાય જેમાં કાયદા, સુધારા અને વ્યવસ્થા છેવાડાના માનવી માટે સુગમ, સરળ અને સહજ હોય. આ માપદંડે જોતાં આધારકાર્ડનું વોટર આઈડી સાથેનું જોડાણ ગરીબોને કનડનારું બની શકે છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
નારાયણ આશ્રમ પહોંચ્યાં
નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ
આશા વીરેન્દ્ર
અમારા લોહાઘાટ પહોંચવા સુધીમાં, રમેશ, વિનોદ, સુનીલ અને આનંદ એમ ચારેય ગાડીના ડ્રાઈવરોને ખબર મળી ચુક્યા હતા કે બીજે દિવસે પીઠોરાગઢમાં ટેક્સીની હડતાળ પડવાની છે. એનો અર્થ એ કે જો સવારે સાડા છ પહેલાં જો એ વિસ્તાર પસાર ન કરી લઈએ તો હડતાળીયાઓ હેરાન પરેશાન કરે એવી શક્યતાઓ પુરેપુરી. અને સવારે સાડા છ પહેલાં ત્યાંથી આગળ નીકળી જવું હોય તો લોહાઘાટથી મળસ્કે ૪ વાગ્યે તો નીકળી જ જવું જોઈએ ! પ્રતિભાવમાં સૌએ એકી અવાજે જણાવી દીધું કે અમે અમારો સામાન પોતપોતાના રુમોની બહાર સવારે સાડા ત્રણ પહેલાં મુકી દઈશું. નિધાર્યા મુજબ બધાં સમયસર તૈયાર થઈને સરહદ પર જવા તૈયાર શિસ્તબદ્ધ યોદ્ધાઓની જેમ ગાડીઓમાં ગોઠવાઈ પણ ગયાં.
નક્કી કર્યા મુજબ સાડા છ સુધીમાં પીઠોરાગઢ તો પહોંચી ગયાં. પરંતુ એનાથી આગળ જતાં બે એક વખત તોફાની તત્ત્વોએ અમને રોકીને પૈસા કઢાવવાની કોશિશ તો કરી જ હતી. પરંતુ દ્રૌપદીની વિપતિની વેળાએ શ્રીકૃષ્ણ હાજર થઈ ગયા હતા તેમ અમને નડેલાં વિઘ્નો સમયે બરાબર અણીના સમયે પોલીસ પ્રગટ થઈ અને અમને સહાય કરી.
અમારાં ટોળાનાં લોકો આમ તો શાણાં હતાં, પણ ખળખળ વહેતાં ઝરણાંઓને જોતાંવેંત એ શાણપણ હવા થઈ જઈને એવું શુરાતન ચઢતું કે અખાના છપ્પાની યાદ આવી જાય. જેમ ‘એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ની તેમ અમારા આ ‘શાણા’ પ્રકૃતિપ્રેમીઓને જેવુ ઝરણું નજરે પડે એટલે ગાડી ઊભી રખાવીને પાણીમાં ઝંપલાવ્યે જ છૂટકો કરે. પછી તો એ ચેપ ધીમે ધીમે અમારા બધામાં પણ ફેલાતો ગયો. એટલે એ લોકો સાથે ‘ચાલો આપણે પણ પાણીમાં જરાતરા છબછબીયાં કરી લઈએ’ કહીને બધાં જ તરવૈયાઓની જમાતમાં સામેલ થઈ જતાં. આમ લહેરીલાલાઓ અને લહેરીલાલીઓની અમારી દડમજલ આગળ વધતાં વધતાં બરાબર બાર કલાકે નારાયણ આશ્રમ પહોંચી.
સવારે ચાર વાગ્યે નીકેળેલાં અમે નારાયણ આશ્રમ ભલે સાંજે ચાર વાગ્યે પહોંચ્યાં, પણ બધાંનાં હૈયા આનંદ અને ઉત્સાહથી એવાં છલછલતાં હતાં કે કોઈના ચહેરા પર થાકનું નામનિશાન નહોતું.
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : સારુબેંડ – SARABAND ( 2003 )
ભગવાન થાવરાણી
સ્વિડિશ ફિલ્મ સર્જક ઈંગમાર બર્ગમેનની મારી પસંદગીની દસ ફિલ્મોના માસિક રસાસ્વાદનની આ શ્રેણીની શરુઆત એમની બહુ ઓછી જાણીતી ફિલ્મ SO CLOSE TO LIFE થી મે – ૨૦૨૨માં કરી ત્યારે આ પ્રસ્તાવિત દસ ફિલ્મોમાંથી માત્ર અન્ય ત્રણ ફિલ્મો વિષે લખવા માટે ચોક્કસ હતો. એ ફિલ્મો એટલે AUTUMN SONATA ( જૂન – ૨૦૨૨ ), WILD STRAWBERRIES ( જુલાઈ – ૨૯૨૨ ) અને WINTER LIGHT ( નવેમ્બર – ૨૦૨૨ ). બાકીની છ ફિલ્મો વિષે નક્કી નહોતું. ત્યાં લગી મેં બર્ગમેનની વીસેક ફિલ્મો જોયેલી . ( હવે તેત્રીસ ! ). એક જ વિષય પર એમણે અલગ – અલગ સમયે સર્જેલી ફિલ્મ – ત્રયીઓ વિષે આપણે નવેમ્બર – ૨૦૨૨ના હપ્તામાં વાત કરી ગયા પરંતુ એ બાબતનો સ્હેજ પણ અંદાજ નહોતો કે એમણે માત્ર એક વિષય જ નહીં, એક જ પાત્રો અને એ પાત્રો ભજવતા એ ના એ કલાકારોને લઈને બે ફિલ્મો બનાવી હશે અને એ બન્ને એવી ઉત્કૃષ્ટ હશે કે બન્ને વિષે લખવું અનિવાર્ય થઈ પડશે ! આ બે ફિલ્મો એટલે એમની ૧૯૭૪ની SCENES FROM A MARRIAGE ( આપણે એ ઓગસ્ટ – ૨૦૨૨ ના હપ્તામાં ચર્ચી ગયા ) અને ૨૦૦૩ની એ જ ફિલ્મના ઉત્તરાર્ધરુપ ફિલ્મ SARABAND ( ઉચ્ચાર – સારુબેંડ ) જેની વાત આજે[1] . જેમણે SCENES FROM A MARRIAGE જોઈ છે અથવા એ ફિલ્મ – વિષયક આ લેખમાળાનો હપ્તો વાંચ્યો છે એમના પુનરાવર્તન અને સ્મૃતિ – સંધાન માટે અને નથી વાંચ્યો એમના ઈચ્છનીય વાચન માટે ફરીથી એની લિંક અત્રે મુકી છે :
અગાઉની ફિલ્મની જેમ આજની આ ફિલ્મ SARABAND પણ મૂલત: દસ હપ્તે સ્વીડનમાં પ્રસારિત થયેલી ટીવી સિરિયલ હતી જેને પછીથી સિનેમા આવૃતિરુપે રજૂ કરવામાં આવેલી. બર્ગમેનની અન્ય એક ઉત્તમ ફિલ્મ FANNY AND ALEXANDER ( 1982 ) – જેની ચર્ચા આ લેખમાળામાં સમયાભાવના કારણે નહીં કરીએ – ને બર્ગમેને પોતાની અંતિમ ફિલ્મ જાહેર કરેલી અને એ પછીનો સક્રિય સમય એમણે ટીવી સિરિયલો અને નાટકોના દિગ્દર્શનમાં વીતાવેલો. SARABANDની સિનેમાકીય આવૃત્તિ રજૂ થતાં આ એમની અંતિમ ફિલ્મ બની રહે છે. એ રજૂ થયાના ચોથા વર્ષે ૨૦૦૭માં બર્ગમેન અવસાન પામ્યા.
અને કેવી અંતિમ ફિલ્મ ! મોટા ભાગના મહાન ફિલ્મકારોની અંતિમ ફિલ્મ ( Swan – song ) બહુધા સાવ સરેરાશ ફિલ્મ બની હોય છે. એમની કારકિર્દીને ઝેબ આપે એવી તો હરગીઝ નહીં. SARABAND અલગ છે. એમની શ્રેષ્ઠતમ ફિલ્મોની હરોળમાં માનભેર ઊભી રહી શકે એવી માતબર. એમની મોટા ભાગની ફિલ્મો સીધી કે આડકતરી રીતે પ્રેમ અથવા મૃત્યુની વાત કરે છે. એમની જે કેટલીક ફિલ્મો ઈશ્વરના અસ્તિત્વ સામે સવાલો ઊભા કરે છે એમાં પણ છેવટનું તારતમ્ય તો એ જ કે પ્રેમ જ ઈશ્વર છે. ૬૦ વર્ષ ફિલ્મોમાં સક્રિય રહ્યા પછી પણ બર્ગમેનની આ અંતિમ ફિલ્મ એમના કુશળ સર્જક હોવાની પ્રબળ દ્યોતક છે. વળી જેમના માટે પ્રેમ અત્યંત દૂરનો પ્રદેશ છે અને મૃત્યુ વિચલિત કરી દે એ હદે નિકટ, એવા ભાવકો – ભાવુકો માટે તો આ ફિલ્મ ઝકઝોરી નાંખતું દ્વંદ્વ છે.
SARABAND કે SARABANDE એ સતરમી અને અઢારમી સદીનું હળવી ગતિનું એક સ્પેનીશ નૃત્ય છે. એ નૃત્ય સંગે વગાડવામાં આવતા સંગીતનું પણ એ જ નામ છે. એમાં બે નર્તક હોય છે. પુરુષ અને સ્ત્રી. બહુધા એમાં બન્ને પાત્રો વચ્ચે ઉત્તેજક નિકટતા હોય છે. આ ફિલ્મના દસ અલગ – અલગ પ્રકરણમાં પણ બબ્બે પાત્રો વચ્ચેનો સંવાદ – વિસંવાદ -સંઘર્ષ દેખાડાયા છે. કોઈ પણ પ્રકરણમાં બેથી વધુ પાત્રો નથી. દરેક પ્રકરણના અંતે મહાન જર્મન સંગીતકાર યોહાન બાકના પાંચમા સૂટનું સારુબેંડ સંગીત વાગે છે.
જેમણે SCENES FROM A MARRIAGE ફિલ્મ જોઈ છે અથવા એનો રસાસ્વાદ વાંચ્યો છે એમને ખ્યાલ છે કે એ મેરિયન ( LIV ULLMANN ) અને યોહાન ( ERLAND JOSEPHSON ) ની પ્રેમ – ધિક્કાર – પ્રેમકથા છે. ફિલ્મની શરુઆતથી જ એ દસ વર્ષથી પરણેલા છે અને એકંદરે સંતોષકારક સહજીવન ગુજારી ચૂક્યા છે, બન્નેની પ્રકૃતિઓ વચ્ચે આભ-જમીનનું અંતર હોવા છતાં ! યોહાનના અન્ય સ્ત્રી સાથેના સંબંધોના કારણે બન્ને છૂટાછેડા લે છે. બન્ને અન્ય પાત્રોને પરણે છે પણ એકમેક સાથે બંધાયેલો કોઈક અજબ નાતો એમને જોડાયેલા રાખે છે. બન્ને અવારનવાર મળતા રહે છે. એ ફિલ્મ પૂરી થાય છે બન્નેના લગ્નના વીસ વર્ષ અને છૂટાછેડાના દસ વર્ષ પછી એક મિત્રના અવાવરુ મકાનમાં એક અંતરંગ રાત વિતાવીને.
એ અંતિમ મિલનના બત્રીસ વર્ષ બાદ આ ફિલ્મ SARABAND આરંભાય છે. યોહાન હવે ૮૫ નો છે, મેરિયન ૭૫ ની. બન્નેના નવા જીવનસાથી ક્યારના આ સંસારમાંથી વિદાય લઈ ચૂક્યા છે. મેરિયન – યોહાનના લગ્નજીવનથી જન્મેલી બે પુત્રીઓ હવે પ્રૌઢ છે. એક દીકરી પતિ સાથે ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ છે અને બીજી માનસિક નબળાઈ અને વિસ્મૃતિનો ભોગ બનીને મનોરોગ ચિકિત્સાલયમાં. મેરિયન એકલી છે તો યોહાન પણ એક રીતે એકલો જ. એના બીજા લગ્નથી થયેલો પુત્ર હેનરીક ( BORJE AHLSTEDT ) એકસઠનો છે અને પિતા-પુત્ર વચ્ચે બાપે માર્યા વેર છે. એને ખાસ કોઈ કમાણી નથી અને એ ‘ જિંદગીમાં દરેક રીતે નિષ્ફળ રહ્યો ‘ એની યોહાનને દાઝ છે. એમ તો યોહાન પોતે પણ ખાસ સફળ નહોતો પણ એને મોટી ઉંમરે કોઈક અજ્ઞાત કાકીના મૃત્યુ પછી મોટો વારસો મળ્યો એટલે પૈસે-ટકે ન્યાલ થઈ ગયો અને હવે કુદરતને ખોળે ભવ્ય મકાન વસાવીને રહે છે. એના મકાનથી ખૂબ નજીક એના જ એક અન્ય વિશાળ મકાનમાં એનો દીકરો હેનરીક ‘ કોઈ ભાડું ચૂકવ્યા વિના ‘ એની જુવાન દીકરી કારીન ( JULIA DUFVENIUS ) સાથે રહે છે. આ બન્ને પિતા-પુત્રી સેલો ( વાયલીન જેવું વાદ્ય ) વાદક છે અને પિતા પુત્રીનું ભવિષ્ય પોતાના હસ્તે સંગીતના ક્ષેત્રમાં ઘડવા કૃતસંકલ્પ છે. એ એનો શિક્ષક અને ( ધરાર ! ) માર્ગદર્શક છે. SARABAND આ ચાર પાત્રો મેરિયન, યોહાન, હેનરીક અને કારીનની કહાણી છે, નવા ઉમેરાયેલા બેની વિશેષ ! જોકે કેંદ્રમાં તો મેરિયન અને યોહાન જ છે.
ફિલ્મ એના ચાર પાત્રો વચ્ચે અલગ-અલગ દસ અધ્યાયમાં ફેલાયેલા દ્વંદ્વરૂપે છે. એ બધા જ ટકરાવ પરિપક્વ અને અધિકૃત છે. દરેક પ્રકરણમાં કેવળ બે ચરિત્રો જ છે. આમેય બર્ગમેન બે માણસો સામસામે હોય ત્યારે એમના તુમુલને મૂર્તિમંત કરવાના માહેર કસબી છે. દરેક પ્રકરણ સંક્ષેપમાં :।
૧. પ્રસ્તાવના – એકલી મેરિયન
ટેબલ પર પથરાયેલો બ્લેક એંડ વ્હાઈટ ફોટાઓના ઢગલા સામે મેરિયન. ફોટાઓ ઉથલાવતી એ જાણે વીતેલી જિંદગીમાંથી પસાર થાય છે. એ ઢગલામાંથી એ પોતાના ચાલીસ વર્ષ પહેલાંના પતિ યોહાનનો ફોટો ઉપાડી દર્શકોને દેખાડે છે. પોતે પણ ધારી-ધારીને જુએ છે. એમનો સંપર્ક વર્ષોથી તૂટી ગયો છે. એ પોતાની હાલની નિતાંત એકલતાનો અછડતો ઉલ્લેખ કરે છે અને યોહાનને એક વાર મળી લેવાનો ઈરાદો વ્યક્ત કરે છે.
૨. પ્રકરણ એક – મેરિયન અને યોહાન
મેરિયન. એ યોહાનના વનરાજી વચ્ચે આવેલા કોટેજ પર ૩૦૦ કિ.મી નો પ્રવાસ ખેડીને પહોંચી છે. એના ઘરનો દરવાજો ચુપચાપ ખોલી, પોતાની આરામખુરસીમાં અર્ધનિદ્રામાં પોઢેલા વયોવૃદ્ધ યોહાનને હેતથી જુએ છે. ઘડીભર વિચારે છે ‘ એને ‘ જોઈ લીધો, હવે પરત જતી રહું ત્યાં યોહાન જાગી જાય છે, તરત મેરિયનને ઓળખી ઉમળકો વ્યક્ત કરે છે. મેરિયન ‘ મળી લીધું, હવે જઉં ‘ નો ઉપક્રમ કરે છે પણ યોહાન આગ્રહપુર્વક કહે છે કે આટલે દૂરથી આવી છો તો જમીને જજે. ઘરના રખરખાવ અને રસોઈ માટે કામવાળી છે જે કામ આટોપીને પોતાના ઘરે જતી રહે છે.
યોહાન ઘડપણ ઉપરાંતની કેટલીયે શારીરિક તકલીફોનો ભોગ બનેલો છે. એના જ શબ્દોમાં ‘ માણસને સાઠે છ તકલીફો હોય તો સિત્તેરે સાત ‘. મેરિયન એકંદરે તંદુરસ્ત છે. બન્ને પરસાળમાં બેસી દૂર સુધી ફેલાયેલી વનરાજી અને સરોવર નીરખે છે. યોહાન બાજુમાં રહેતા દીકરા હેનરીક, બન્ને બાપ – દીકરા વચ્ચેના તંગ સંબંધો અને હેનરીકની વ્હાલૂડી દીકરી કારીનની વાત કરે છે. એ હેનરીકની બે વર્ષ પહેલાં કેંસરથી મૃત્યુ પામેલી સૌમ્ય પત્ની અન્નાનો પણ ઉલ્લેખ કરે છે. પોતાની અને મેરિયનની બન્ને દીકરીઓના ખબરઅંતર પૂછે છે. પોતાની નરકથી યે બદતર જિંદગી અને એમના બન્નેના નિષ્ફળ ગયેલા લગ્નજીવનની પણ !
મેરિયનને પ્રશ્ન થાય છે કે અહીં આવીને ભૂલ તો નથી કરી ને !
૩. પ્રકરણ બે – મેરિયન અને કારીન
મેરિયન યોહાનને ત્યાં રોકાઈ ગઈ છે. પોતાનું જ ઘર છે એવું માનીને ! યોહાનની પૌત્રી કારીન દાદાને મળવા આવે છે. મેરિયન એને પોતાની ઓળખ આપે છે . ‘ હું તારા દાદાની ભૂતપૂર્વ પત્ની છું. ‘
કારીન સુયોગ્ય અને સહૃદય શ્રોતા મળતાં પોતાની રામકહાણી સુણાવે છે. મેરિયન સહાનુભૂતિ અને સમજદારીનો દરિયો છે જાણે ! એ કારીનને ખૂલવાની મોકળાશ આપે છે. કારીન પોતાના પિતાની સારપની વાત સાથે એમની જોહુકમી અને કડકાઈની વાત કરે છે. પોતે એમની સેલો વગાડવાની ચોક્કસ રીતની જિદ્દથી ત્રાસી ગઈ છે. એમના રિયાઝના આગ્રહને એ સતામણી કહે છે. એ એમની હિંસક રીતભાતથી તંગ આવી ઘરેથી ભાગીને અહીં આવી છે.
દરેક ધૈર્યવાન શ્રોતાની પોતાની પણ એક કહાણી હોય છે જે પેલા કહેનાર કરતાં પણ કરુણ હોય ! કારીન ‘ મારે હવે કશુંય કરવું નથી, કશુંય બનવું નથી.’ મેરિયનને એવું લાગે છે કે વહાલસોયી દીકરીથી ઠુકરાવાયેલો પિતા હેનરીક કશુંક અઘટિત કરી ન બેસે ! દીકરીને પિતા તરફ પ્રેમ પણ છે કારણકે એ પણ એની સ્વર્ગસ્થ માને એના જેટલી જ ઉત્કટતાથી ચાહતા હતા.
કારીન પોતાની કથની કોરાણે મૂકી મેરિયનને એના દાદા સાથેના સહજીવન અને એમની પ્રકૃતિ વિષે કુતૂહલથી પૂછે છે. ‘ તારા દાદા સ્વભાવે જ બેવફા હતા. પણ તોય હું એમને ચાહતી . એ સરળ પણ હતા. આસાનીથી આઘાત પહોંચાડી શકાય એવા. ‘ મેરિયન ભૂતકાળમાં ઝાંકે છે અને રડી પડે છે પણ એને પોતાની કથની આ બાલિકાને કહેવી નથી. ‘ તું શું કરીશ હવે ? ‘ ‘ પપ્પા પાસે પરત જઈશ ‘
મેરિયનને કારીન પર દીકરી જેવું વહાલ ઉપજે છે.
૪. પ્રકરણ ત્રણ – હેનરીક અને કારીન
કારીન પિતા પાસે પાછી ફરે છે. બન્ને પિતા – પુત્રીના સંબંધો પવિત્ર કરતાં ‘ વિશેષ ‘ છે. રાત્રે એક જ પથારીમાં સૂતેલા બન્ને અન્નાને યાદ કરે છે. બન્નેની વાતચીતમાં અન્નાના પ્રેમાળ સ્વભાવ અને હેનરીકના પિતા પ્રત્યેના ધિક્કારનો ઉલ્લેખ થાય છે. આ પ્રેમ અને ધિક્કારના પણ ઊંડા મૂળિયાં અને ઈતિહાસ છે. પિતા – પુત્રીના સંવાદ દરમિયાન બાજુમાં મૂકેલી અન્નાની તસવીર જાણે બન્ને વચ્ચે સાક્ષી હોય તેમ બન્નેને નીરખ્યા કરે છે. હેનરીકની પિતા પ્રત્યેની ઘોર નફરતના કારણે એક તબક્કે અન્નાએ એને છોડીને જતા રહેવાનું વિચારેલું પણ પછી પ્રેમ આગળ હારી ગયેલી. હેનરીક ‘ એ સ્થૂળ રીતે ભલે મને છોડીને ન ગઈ પણ એની આંખો કહેતી હતી કે એ મને છોડીને જઈ ચૂકી છે. ( અદ્ભૂત વાત ! ) ‘ અને ‘ મેં અન્નાની માફી પણ માંગી . જાણે એક બાળક માને કહેતું હોય કે ફરી આવું નહીં કરું. ‘ પછી કારીનને સંબોધી ‘ તું મને છોડી જઈશ તો હું ભાંગી પડીશ . હું જાણું છું, તારી સ્વતંત્ર જિંદગી તારી રાહ જુએ છે. ‘ આ કહેતી વખતે હેનરીક એટલે અભિનેતા BORJE AHLSTEDT નો અભિનય બન્ને મુખ્ય કલાકારોથી પણ ઉત્કૃષ્ટ સાબિત થાય છે. ‘ મને લાગે છે જાણે એક મોટી સજા મારી રાહ જોઈ રહી છે. ‘ એ પોતાનો ભય વ્યક્ત કરે છે.
કારીન ચુપ છે પણ બધું સાંભળે અને સમજે છે. એ માની તસવીરની આરપાર જોઈ એની ગેરહાજરીને સંવેદે છે.
૫. પ્રકરણ ચાર – યોહાન અને હેનરીક
૮૫ નો યોહાન અને ૬૧ નો એનો પુત્ર હેનરીક. જીવનના દરેક તબક્કે નિષ્ફળ રહેલા પુત્રને પિતા ક્યારેય માફ કરી શક્યા નથી. બન્નેનો ધિક્કાર પારસ્પરિક છે. આપણને થાય, કેટલાક લોકોને હાથે કરીને જીવનમાં કડવાશ અને દુખને નોતરું આપવાનું ઘેલું હોય છે. નહીંતર જીવનની સંધ્યાની પણ સંધ્યાએ સાઠે પહોંચી ચૂકેલા પુત્રની ‘ નિષ્ફળતા ‘ નો પૈસે-ટકે સદ્ધર એવા પિતાને શેનો અફસોસ !
યોહાનની લાયબ્રેરી આપણા બાબુ સુથાર જેવી સમૃદ્ધ છે. પુત્ર હેનરીક એમની કને પોતાના વારસા-હક્કની રકમમાંથી ઉપલક રકમ ‘ ઊછીની ‘ લેવા આવ્યો છે. બન્ને વચ્ચે સંધાનનો કોઈ તંતુ બચ્યો નથી. હેનરીકને પૈસા પોતાની પુત્રી કારીન માટે એક પુરાણું પણ કીમતી સેલો ખરીદવા જોઈએ છે. એને એમ છે કે દાદા પણ કારીનને ચાહે છે એટલે એમની પાસેના લખલૂટ પૈસામાંથી આટલી નાની રકમ આપવામાં કશી તકલીફ નહીં પડે. પિતા એને કોઈ રાહત આપવા તૈયાર નથી. એક પછી એક કટાક્ષની પરાકાષ્ઠા પછી યોહાન ‘ તારે પૈસા દીકરીને લાંચ આપવા જોઈએ છે જેથી એ તને છોડી ન જાય. ‘ અને ત્યારબાદ દીકરાને બિરદાવતો હોય તેમ ‘ તારા નાટકમાં ઘૃણાનું તંદુરસ્ત પ્રમાણ છે. ‘ બાપ દીકરા વચ્ચેની આ આપસી નફરત હેનરીકના બચપણથી ઉદ્ભવેલી છે. યોહાન કબૂલે છે કે નફરતમાં પણ જો ઈમાનદારી હોય તો એને ગમે. યોહાન પોતાનો નિર્ણય જાહેર કરે છે કે કારીન માટે સેલોની વ્યવસ્થા એ જાતે કરી આપશે. હેનરીક પિતા પર જાણે થૂંકતો હોય તેમ ગુસ્સાથી સળગતો ચાલ્યો જાય છે.
૬. પ્રકરણ પાંચ – મેરિયન અને હેનરીક
પિયાનો પર ચર્ચમાં ઓર્ગન વગાડતા હેનરીકને મેરિયન મળવા આવી છે. હેનરીકને એ ઓર્ગન વગાડવામાં એટલે રસ છે કે એ પુરાણું અને દુર્લભ છે ! મેરિયન એની સાથે કારીનની વાત કરે છે . જવાબમાં એ અન્ના અને કારીનની પ્રકૃતિઓની સરખામણી કરી કારીન એના માટે કેટલી અનિવાર્ય છે એ કહે છે. એ મેરિયનને ઘરે ભોજન માટે આવવા નિમંત્રણ આપે છે પણ યોહાનનો ઉલ્લેખ આવતાં જાણે ઝાળ લાગે છે હેનરીકને ! ‘ તમે પણ પૈસા લેવા આવ્યા છો એમની પાસે ? ‘ અને એ પ્રકારની બીજી સસ્તી વાત કરે છે. એ પિતા તરફની નફરત જતાવતાં કહે છે કે એ એમને કોઈ ભયાનક રોગથી મૃત્યુ પામતા પોતાની આંખે જોવા ઈચ્છે છે !
મેરિયન વિચારતી રહે છે, કેવા – કેવા સંબંધો છે દુનિયામાં !
૭. પ્રકરણ – ૬ યોહાન અને કારીન
દાદા યોહાને પ્રિય પૌત્રી કારીનને વાત કરવા બોલાવી છે. બન્ને એમની પ્રિયપાત્ર અન્નાને યાદ કરે છે. યોહાન એને પોતાના અંગત સંગીતકાર મિત્રના પત્ર વિષે કહે છે. એણે કારીનના વાદન – કૌશલ્યથી પ્રભાવિત થઈ એને પોતાની સંગીત અકાદમીમાં હેલસિંકી ખાતે જોડાવાનું નિમંત્રણ મોકલ્યું છે. એમના મતે સંગીતમાં કારીનનું ભવિષ્ય ઉજ્જવળ છે. એમણે આ જ ઓફર કારીનના પિતા હેનરીકને પણ કરેલી પણ એણે તોછડાઈપૂર્વક એ ફગાવી દીધેલી !
દાદા કારીનને એના પિતાએ પસંદ કરેલું સેલો અપાવવા પણ તૈયાર છે, જો એ હેલસિંકી અકાદમીમાં જોડાવા તૈયાર થાય તો ! કારીન અસમંજસ અનુભવે છે. એક બાજુ પિતા છે જે એના વિના જીવી નહીં શકે અને બીજી બાજુ કારકિર્દી ! એ મનોમન કશું નક્કી કરે છે.
પ્રકરણના અંતિમ બેહતરીન અને કશુંક સાંકેતિક સૂચવતા દ્રષ્યમાં સેલો વગાડતી કારીન ધીમે ધીમે નાની થતી – થતી બિંદુવત્ બની જાય છે.
૮. પ્રકરણ – ૭ – મેરિયન અને કારીન
યોહાનના ઘરે રોકાઈ ગયેલી મેરિયનને મળવા આવી છે કારીન. કારીનને અચાનક એક પત્ર મળી આવ્યો છે જે એની મા અન્નાએ એના પિતા હેનરીકને મૃત્યુના થોડાક દિવસો પહેલાં લખ્યો છે. એને ખબર પડી ગયેલી કે એની પાસે હવે ઝાઝો સમય નથી. પત્રમાં અન્ના હેનરીકને ચેતવે છે કે એણે પ્રેમ અને ભણતરના ઓઠા હેઠળ જે રીતે દીકરી કારીનને જકડી રાખી છે એ એના વિકાસમાં અવરોધક છે. એ કારીનના પ્રેમનો પોતાની સુરક્ષિતતા માટે ઉપયોગ કરી રહ્યો છે. અન્ના સલાહ આપે છે કે કારીનને વહેલી તકે મુક્ત કર. મેરિયન સાક્ષાત સહાનૂભુતિથી કારીનને પત્ર વાંચતી સાંભળે છે. કારીન આ અંગત વાત મેરિયનને કહેવા એટલા માટે આવી છે કે એ પોતાના ભૂતપૂર્વ પતિની પૌત્રી માટે અસીમ નિસબત જતાવે છે અને દરેક રીતે એનું ભલું ઈચ્છે છે. કારીન એને પિતાના એના પ્રત્યેના જીવલેણ લગાવની વાત કરે છે.
‘ માનો આ પત્ર મારા પ્રત્યેનો મૂર્તિમંત પ્રેમ છે મારે મન. ‘
૯. પ્રકરણ – ૮ – હેનરીક અને કારીન
પિતા – પુત્રી. પુત્રીએ કશોક મક્કમ નિર્ણય લઈ લીધો છે. પિતાને કહેવાનું બાકી છે. હેનરીક ઈચ્છે છે કે પિતા – પુત્રી મળી એક જાહેર કોંસર્ટ કરે. કારીનને એ ફાવતું નથી. દરઅસલ એનો મિજાજ વ્યક્તિગત નહીં પરંતુ સમૂહ – વાદનને અનુકુળ છે. સાવ અજાણ્યા લોકો એના કૌશલ્ય વિષે ટીકા કરે એ એને ગમતું નથી. એ પિતાને શબ્દો ભેળવ્યા વિના સાફ – સાફ કહે છે કે મારા નિર્ણયો મને મારી રીતે લેવા દો. હેનરીકને શંકા છે કે એ દાદાનું પઢાવેલું બોલે છે. દાદાએ પોતાનાથી છૂટી પડવા ભરમાવી છે એને ! કારીન એને પોતાની માએ લખેલો પત્ર દેખાડે છે અને સ્પષ્ટ કહે છે કે આવતા અઠવાડિયે એ પોતાના ભવિષ્ય માટે હેલસિંકી જતી રહેવાની છે. ‘ મારે મારી માની અવેજીમાં જીવવું નથી. જે હું છું નહીં એ બનવું નથી. ‘
અંદરથી ભાંગી પડેલો હેનરીક પરિસ્થિતિ પામી જાય છે. ‘ આપણા સંબંધ પૂરા કરતાં પહેલાં છેલ્લી વાર પાંચમો સારુબેંડ વગાડ. ‘ હેનરીક મોઢું ફેરવી દીકરીને સેલો વગાડતી સાંભળી રહે છે. છેલ્લી વાર !
૧૦. પ્રકરણ નવ – યોહાન અને મેરિયન
મેરિયન વ્યગ્ર છે, યોહાન નિર્લેપ. હેનરીકે હાથ અને ગળાની નસો કાપી નાંખી આપઘાતનો પ્રયત્ન કર્યો છે. એ હોસ્પીટલમાં છે. મેરિયનનું મંતવ્ય છે કે કારીનને ગમે ત્યાંથી શોધીને એના પિતાની હાલત વિષે જણાવવું જોઈએ . જવાબમાં યોહાન ઠંડી ક્રૂરતાથી કહે છે કે હેનરીકને આપઘાત કરતાં પણ ન આવડ્યું ! મેરિયન સમસમી જાય છે. માણસ આટલો ક્રૂર બની શકે ? યોહાન ખુલાસો કરે છે કે આ બધી વસ્તુત: મારી મારા તરફની નફરત છે. હેનરીક બચપણથી કેવી રીતે એના પર આશ્રિત હતો એની વાત એ કરે છે. ‘ સાવ પાલતુ કૂતરા જેવો. હું એને લાત મારી ભગાડી મૂકતો. ‘ મેરિયનને કારીનની ચિંતા છે. આવી દુખદ પરિસ્થિતિઓમાં પણ યોહાન આશ્ચર્ય વ્યક્ત કરે છે કે અન્ના જેવી સંવેદનશીલ સ્ત્રીએ હેનરીક જેવા લબાડને કેમ પસંદ કર્યો હશે ! મેરિયન માંડ રડવું રોકી હસવાનો ઉપક્રમ કરે છે. યોહાન કારણ પૂછે છે તો કહે છે ‘ કારણ છે પણ તને નહીં સમજાય ! ‘
૧૧. પ્રકરણ દસ – યોહાન અને મેરિયન – છેલ્લું પ્રભાત
યોહાન રડે છે. ધ્રુસ્કે – ધ્રુસ્કે અને એકલો. વહેલું પરોઢ. એ બંધ કમરામાં સૂતેલી મેરિયનને જગાડે છે. એ પોતે સાવ અશક્ત અને બીમાર છે. એનું શર્ટ ઝાડાથી પલળી ગયું છે. ‘ મારા શરીરના છિદ્રેછિદ્રમાંથી પીડા ઝરે છે. ‘ મેરિયન પહેલાં એની આત્મગ્લાનિનો ઉપહાસ કરે છે પણ પછી કરુણા ઊભરાતાં એને પોતાની સાથે સુઈ જવા આમંત્રણ આપે છે. યોહાન પથારીમાં જગ્યા ન હોવાનું કહે છે તો જવાબમાં ‘ આપણે તો આનાથી યે નાની પથારીઓમાં સૂતા છીએ ‘ કહી એને બાજુમાં સૂવાડે છે. વૃદ્ધત્વને પામી ચૂકેલું યુગલ ફરી એક વાર સાથે. ‘ જિંદગીના અંતિમ પડાવમાં હવે યોગ્ય – અયોગ્ય શું વિચારવાનું ? ‘ બન્ને એકમેકના કરચલિયાળા દેહને ધારી – ધારીને જુએ છે. રજાઈ ઓઢે છે. મેરિયનને બાથમાં લેવાનો ક્ષણિક ઉપક્રમ કરી યોહાન તુરંત માંડી વાળે છે. પડખું ફેરવી પૂછે છે ‘ તું અહીં કેમ આવી ? ‘ ‘ મને એવું લાગ્યું કે તું મને બોલાવે છે. ‘ ‘ મને સમજાતું નથી. ‘ ‘ તારું ન સમજવું મને સમજાય છે. ‘ મેરિયન યોહાનને સાંગોપાંગ ઓળખે છે.
‘ મારો ઘરે પાછા ફરવાનો સમય થયો છે. ‘
૧૨. ઉપસંહાર – ફરી એકલી મેરિયન
એ જ શરુઆતનું દ્રષ્ય . ફોટાઓના ઢગલા આગળ મેરિયન. એના મન:ચક્ષુ આગળ વધુ એક કાલ્પનિક ફોટો છે – એ અને યોહાન છેલ્લે સાથે પથારીમાં હતાં એ ફોટો. શરુઆતની જેમ મેરિયન ફરી ભૂતકાળને વાગોળે છે પણ હવે એ ભૂતકાળ માત્ર યોહાન અને એના પરિવાર સાથે તાજેતરમાં વિતાવેલા સમય પૂરતો છે. એકમેકના સંપર્કમાં રહેવાના કોલનો અમલ પણ નથી થઈ શક્યો અને હવે તો યોહાન ફોન પર વાત કરવા જેટલો સક્ષમ પણ નથી રહ્યો. એના કોઈ સમાચાર નથી.
પોતે બીજા કરતાં વધુ એકલી છે એનો માત્ર આછેરો ઉલ્લેખ કરી એ ફરી સ્મૃતિઓમાં સરી પડે છે. એ અન્નાને યાદ કરે છે અને પછી ‘ થોડીક મારી વાત ‘ કહી પોતાની મોટી દીકરી માર્ટાને સેનેટોરિયમમાં મળવા ગયેલી એ યાદ કરે છે. ફ્લેશબેકમાં એ ઘડીઓ તાદ્રશ થાય છે. મેરિયન વૃદ્ધ થઈ ચૂકેલી દીકરીના ચહેરે હાથ ફેરવે છે. દીકરીનો ચહેરો પત્થર સમાન છે. એ દરેક પ્રકારની સંવેદનાઓ અને સ્મૃતિ ગુમાવી બેઠી છે. એ માને ઓળખતી નથી.
ફરી વર્તમાન. મેરિયનના ચહેરા પર દર્દ અને આછેરું સ્મિત. ‘ કેવી અજબ વાત કે મારી જ દીકરીને હું જાણે પહેલી વાર સ્પર્શી રહી હતી. ‘
મેરિયનની સજળ આંખો. હળવું ડુસકું.
સમાપન.
સૌને સમજતી, સૌને સધિયારો આપતી, સૌ પ્રત્યે સહાનૂભુતિ દાખવતી મેરિયન દરેક પરિપ્રેક્ષ્યમાં પહેલાં પણ એકલી હતી, હવે પણ એકલી છે. રહી વાત બીજા ‘ એકલાઓ ‘ ની, તો એ બધાએ પાોતાની બિનજરૂરી જિદ્દ અને પૂર્વગ્રહોથી હાથે કરીને એકલતા વહોરી લીધેલી છે. ફિલ્મનો વિષય જ આ છે. લોકો પોતાના અહમ કાજે સુખનો ભોગ આપીને સ્વયં અને અન્ય માટે કરુણતા સર્જે છે. અહીં પિતા – પુત્ર યોહાન અને હેનરીક કદાચ એકબીજાની પડોશમાં રહે છે જ એટલા માટે કે એકબીજાને ધિક્કારી શકે ! બન્ને નોખા પડે તો જીવવાનો હેતુ જ ગુમાવી બેસે ! એ બન્ને વચ્ચેના વૈમનસ્યનો ભોગ બને છે કારીન .
આ ફિલ્મ સ્વાર્થી સંબંધો અને નિષ્ફળ માબાપોની ફિલ્મ છે. ફિલ્મના ત્રણેય મુખ્ય પાત્રોને એમના સંતાનો માટે અલગાવ છે. જાણે અધૂરા વેર ! ફિલ્મની મુખ્ય હકીકત છે સમય પ્રત્યેની સભાનતા. જૂના સમયને વીત્યે બત્રીસ વર્ષ થયા છે આ વર્ષો બર્ગમેન માટે પસાર થયા છે તો ફિલ્મના મુખ્ય કલાકારો લીવ ઉલમાન અને અરલેંડ જોસેફસન માટે પણ અને આપણા સૌ માટે પણ ! બર્ગમેને કહેલું પણ કે ફિલ્મમાં આ બે કલાકારોને પુનરાવર્તિત કરવાનું મુખ્ય કારણ એ હતું કે બન્ને પોતાની ઉંમર અનુસાર લાગતા હતા, જિંદગી જીવ્યાની સાબિતી રૂપે !
દર્શક તરીકે, એક દીર્ઘ જીવનના ઉતાર – ચડાવ અને બન્ને મુખ્ય પાત્રોની સમાંતરે જીવ્યાના સંતોષ સહિત આપણા મનમાં જાણે એક ઈચ્છા અધૂરી રહી જાય છે કે કાશ ! છેવટ લગી મેરિયન અને યોહાનની સાથે રહ્યા હોત ! અને આપણા મનની નેપથ્યે પેલું ગીત વાગતું રહે છે. ‘ યે જીવન હૈ, ઈસ જીવનકા, યહી હૈ રંગ – રૂપ ‘
પ્રસ્તાવના અને ઉપસંહાર ઉપરાંત લગભગ બે કલાકની આ ફિલ્મ દસ અધ્યાયમાં વહેંચાયેલી છે. શરુઆત અને અંતમાં મેરિયન એકલી માત્ર છે તો ત્રણ પ્રકરણમાં યોહાન અને મેરિયન, બબ્બેમાં હેનરીક – કારીન, મેરિયન – કારીન અને એક – એકમાં યોહાન – કારીન, મેરિયન – હેનરીક અને યોહાન – હેનરીક છે. આ દરેક પ્રકરણનો સંવાદ – વિસંવાદ કથાને નવો વળાંક આપે છે.
જેમ અગાઉની ફિલ્મનું નામ SCENES FROM A MARRIAGE હતું, આને SCENES FROM A LIFETIME કહી શકાય. આ અંતિમ ફિલ્મ દ્વારા બર્ગમેન પોતાનું ખાતું સરભર કરી ચોપડો વધાવે છે. એવું લાગે જાણે ૮૭ વર્ષની વયે પહોંચેલો એક સર્જક પોતાની સમગ્ર કૃતિઓમાંથી પસાર થતો ઝઝૂમે છે કે એમણે જે પસંદ કર્યું એમાં શું સાચું હતું અને શું ખોટું ! જે હોય તે, આ માણસ જિદ્દપૂર્વક માનવીની પીડા અને એના મનના અંધારિયા ખૂણાને વાચા આપવાના લક્ષ્યને વળગી રહે છે ! ભલે એ છેવટ લગી સ્વયંને આશ્વાસન આપે એવું કશું પામી ન શક્યા પરંતુ આ અંતિમ ફિલ્મમાં પણ એ પીડાને એક એવી તીવ્રતાથી નીરખી શક્યા છે જે સિનેમા માટે અદ્વિતીય છે ! એ વાળુ પછીનો મુખવાસ છે જાણે, જેમાં જૂના અને જાણીતા ચરિત્રોના જીવન પર લગભગ ત્રણ દાયકા બાદ પુન: દ્રષ્ટિપાત છે. એ પાત્રોનો જુસ્સો કંઈ રીતે ઓસરી ગયો અને કઈ રીતે એ અનુગામી પેઢીઓમાં ઉતર્યો એની વાત છે. એવું લાગે જાણે ફિલ્મના ચારેય મુખ્ય ચરિત્રો વારાફરતી તરવાનો – તરતા રહેવાનો પ્રયત્ન કરે છે અને અન્ય ચરિત્રોમાંથી કોઈ એક એના પગને વળગી આશરો ઝંખે છે !
બર્ગમેનના અભિન્ન સાથી અને એમની અઢાર જેટલી ફિલ્મોમાં સિનેમાટોગ્રાફી કરનાર અને એમની બે ફિલ્મો ( CRIES AND WHISPERS તેમજ FANNY AND ALEXANDER ) માટે ઓસ્કરથી સન્માનિત SVEN NYKVIST આ ફિલ્મમાં નથી. બર્ગમેનથી એક વર્ષ પહેલાં એ પણ અવસાન પામ્યા. બર્ગમેન માટે એમનું મહત્વ શું હતું એ કહેવા એટલું પર્યાપ્ત છે કે એમની જગ્યાએ આ ફિલ્મમાં પાંચ સિનેમાટોગ્રાફર છે !
દ્રષ્યે – દ્રષ્યે પાત્રોના આત્માના એક્સ – રે ઝડપનાર બર્ગમેન જેવું કોઈ થાશે નહીં અને એમની આ અંતિમ કૃતિ ફિલ્મરુપી એક સમગ્ર કલા – વિધામાં રહેલી સંભાવનાઓ વિષે દર્શકોને પુનર્વિચાર કરવા પ્રેરે એવી છે.
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
શામ સે આંખ મેં નમી નમી સી હૈ….
ગીતવિશેષ
બીરેન કોઠારી
હિન્દી ફિલ્મોનાં ટાઈટલ સોન્ગની શ્રેણી ‘વેબગુર્જરી’ પર ચાલી રહી છે. એ શ્રેણી માટે વિવિધ ફિલ્મોનાં ટાઇટલ ગીત શોધતાં અનાયાસે આશ્ચર્યજનક બાબતો મળી આવતી હોય છે. આ ઉપક્રમ અંતર્ગત એક વખત સુરતના હરીશ રઘુવંશીએ તૈયાર કરેલી સલિલ ચૌધરીની ફિલ્મોગ્રાફી હું જોઈ રહ્યો હતો. એમાં જાણવા મળ્યું કે સલિલદાની છએક ફિલ્મો અધૂરી રહેલી છે. એક યા બીજા કારણસર તે કાં પૂરી નથી થઈ યા રિલીઝ નથી થઈ. આ ફિલ્મોમાંનાં કોઈ ગીત મળે કે કેમ એની તપાસ મેં આરંભી અને પહેલા જ પ્રયત્ને એક અદ્ભુત ગીત મળી આવ્યું.
‘મિટ્ટી કા દેવ’ નામની ફિલ્મનું એ ગીત મુકેશના સ્વરમાં છે અને તેના શબ્દો છે ‘શામ સે આંખ મેં નમી નમી સી હૈ’. અસલ સલિલ ચૌધરી શૈલીનું કમ્પોઝિશન અને મુકેશનો મસ્ત સ્વર. ગીત લખ્યું હતું ગુલઝારે.
‘મિટ્ટી કા દેવ’ના આ ગીતનો પાઠ આ મુજબ છે.
शाम से आँख में नमी नमी सी है,
आज फिर आप की कमी कमी सी हैअजनबी सी होने लगी है, आतीजाती सांसे,
आँसूंओंमें ठहरी हुई है, रुठी हुई सी यादें,
आज क्युं रात यूं थमी थमी सी है…शाम से आँख में…पथ्थरों के होठों पे हमने, नाम तराशा अपना,
जागी जागी आंखों में भरके, सोया हुआ सा सपना
आंख में नींद भी थमी थमी सी है…शाम से आँख में…જોઈ શકાય છે કે અહીં આ રચનાનું બંધારણ ગીત જેવું છે.
આ ગીત સાંભળતાં સલીલ ચૌધરી અને મુકેશનાં ‘યે દિ ક્યા આયે’ (છોટી સી બાત), ‘કઈ બાર યૂંહી દેખા હૈ’ (રજનીગંધા), ‘મૈંને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને’ (આનંદ) જેવાં ગીતો યાદ આવે. આ ગીત સાંભળવાનું શરૂ કર્યું અને થોડું સાંભળતાં લાગ્યું કે આ શબ્દો તો જાણીતા હોય એમ લાગે છે.
તરત યાદ આવ્યું કે ગુલઝાર, આશા ભોંસલે અને આર.ડી.બર્મનના ગૈરફિલ્મી આલ્બમ ‘દિલ પડોસી હૈ’માં આશાના સ્વરમાં કંઈક આવા જ શબ્દો ધરાવતું ગીત હતું, જેની પર બિલકુલ આર.ડી.ની મુદ્રા હતી. જરા તપાસ કરી તો આશ્ચર્ય! આલ્બમમાં આ ગીત શબ્દોના થોડા ફેરફાર સાથે લેવામાં આવેલું.
આ ગીતનો પાઠ આ મુજબ છે.
शाम से आँख में नमी सी है
आज फिर आप की कमी सी है
दफ़्न कर दो हमें तो साँस आए
देर से सांस कुछ थमी सी हैकौन पथरा गया है आँखों में
बर्फ़ पलकों पे क्यूँ जमी सी हैઆમ, અહીં તેનું બંધારણ ગઝલના બંધારણને અનુસરે છે, જેમાં મત્લા સહિત કુલ ત્રણ શેર છે.
હજી ત્રીજું આશ્ચર્ય બાકી હતું. ગુલઝાર અને જગજીતના આલ્બમ ‘મરાસીમ’માં જગજીતે પણ આ ગાયું હતું અને એ પણ પોતાના આગવા અંદાજમાં.
આ રચનાનો પાઠ આ મુજબ છે.
शाम से आँख में नमी सी है
आज फिर आप की कमी सी हैदफ़्न कर दो हमें कि साँस मिले
नब्ज़ कुछ देर से थमी सी हैवक़्त रहता नहीं कहीं टिक कर
आदत इस की भी आदमी सी हैकोई रिश्ता नहीं रहा फिर भी
एक तसवीर लाजमी सी हैઆ રચના પણ ગઝલના બંધારણને અનુસરે છે અને તેમાં મત્લા સહિત કુલ ચાર શેર છે.
Rekhta.org પર આ ગઝલનો સંપૂર્ણ પાઠ આપેલો છે, જે આ મુજબ છે:
शाम से आँख में नमी सी है
आज फिर आप की कमी सी है
दफ़्न कर दो हमें कि साँस आएनब्ज़ कुछ देर से थमी सी है
कौन पथरा गया है आँखों में
बर्फ़ पलकों पे क्यूँ जमी सी हैवक़्त रहता नहीं कहीं टिक कर
आदत इस की भी आदमी सी है
आइए रास्ते अलग कर लें
ये ज़रूरत भी बाहमी सी हैએટલે કે, આર.ડી.બર્મન અને જગજિતની રચનામાં લેવાયેલા શેર આ મૂળ ગઝલમાંથી લેવાયેલા છે.
આખો તાળો એવો બેઠો કે મૂળ તો ગુલઝારે આ ગીત ‘મિટ્ટી કા દેવ’ માટે લખેલું, જેમાં સંજીવકુમારની ભૂમિકા હતી. એવું જાણવા મળ્યું કે લતા અને મુકેશ આ ફિલ્મથી એટલા પ્રભાવિત થયેલા કે તેમણે આ ફિલ્મના વિતરણના મહારાષ્ટ્ર અને રાજસ્થાનના હક ખરીદવાની તૈયારી દેખાડેલી. કમનસીબે સ્ટુડિયોમાં લાગેલી આગમાં આ ફિલ્મ બળીને ખાખ થઈ ગઈ. તેની સાઉન્ડટ્રેક પણ! તેમણે આ મુખડાને મત્લા તરીકે રાખીને બીજા શેર લખ્યા હશે એમ લાગે છે.
ગીતકાર યોગેશના જણાવ્યા અનુસાર આ ‘મિટ્ટી કા દેવ’નાં ત્રણેક ગીતો રેકોર્ડ થઈ ગયાં હતાં. સલિલદા માટે યોગેશે પહેલવહેલું ગીત આ ફિલ્મ માટે લખેલું, જેના શબ્દો હતા, ‘કોઈ પિયા સે કહ દે અબ જાઓ ના’. બીજું એક ગીત પ્રેમ ધવને લખેલું, જે મહમ્મદ રફી અને સુમન કલ્યાનપુરના સ્વરમાં રેકોર્ડ કરાયેલું.
આ બધું જ રાખ થઈ ગયું. અલબત્ત, મુકેશના સ્વરે ગવાયેલું એક ગીત કોઈક રીતે ઉપલબ્ધ બની શક્યું.
ગુલઝારે લખેલા આ એક ગીતના શબ્દો થોડા ફેરફાર સાથે એના એ જ છે, છતાં ત્રણે સંગીતકારોએ એને પોતાની શૈલીથી જે રીતે શણગાર્યા છે એ સાંભળવાનો જલસો પડે એવું છે.
(તસવીરો નેટ પરથી અને ગીતની લીન્ક યૂ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)