-
સંભારણું – ૧૪ – ૨૦૨૩ની વિદાય
શૈલા મુન્શા
વડોદરા આવીને રહેતાં ત્રણ વર્ષ પસાર થઈ ગયાં. સમય એની રફતારે જ આગળ વધતો હોય છે, પણ આપણને કાયમ ઝડપથી વીતી ગયો હોય એમ જ લાગે છે.
૨૦૨૩ના એપ્રિલમાં અમે ભારત આવ્યાં. વતન તો એ જ હતું પણ ઢળતી ઉંમરે અમેરિકા છોડી પાછા આવી રહેવું સરળ પણ નહોતું.
૨૦૨૩ બસ ચંદ દિવસનું મહેમાન હતું. વરસ શરૂ થાય અને જોતજોતામાં પુરું, પણ એની ઝોળીમાં અગણિત યાદોનાં મોતી છુપાયેલા હોય છે. અમારાં હ્યુસ્ટનના મિત્ર સતીશભાઈના જન્મદિવસની પાર્ટીમાં જવાનું થયું. દર વર્ષે એમની વડોદરાની મુલાકાત નક્કી. બે ત્રણ મહિના વતનની મોજ માણે અને એમ દિલમાં વતનને સતત ધબકતું રાખે.
એમને મળતાંની સાથે જ હ્યુસ્ટનની યાદથી દિલ મઘમઘી ઊઠ્યું!
૨૦૨૩ની શરૂઆતમાં અમે હજી હ્યુસ્ટનમાં જ હતાં પણ નિવૃત જીવન ભારતમાં, પોતાના દેશમાં વિતાવવાનું નક્કી કર્યું પણ એ એટલું સહેલું નહોતું. જીવનના અપ્રતિમ વર્ષો જ્યાં વિતાવ્યાં, કેટલાય સંબંધો વિકસાવ્યા એ બધું છોડી ભારત પાછા આવી નવેસરથી ઘર વસાવવાનું હતું.
મન પણ કેવું અજાયબ છે, વડોદરા આવ્યે છ મહિના થઈ ગયાં હતાં. બધું ગમવા માંડ્યું હતું સરસ રીતે ગોઠવાઈ ગયા હતાં પણ ભીતર હજી એક ખૂણો ખાલી લાગી રહ્યો હતો. સતીશભાઈ સાથેની મુલાકાત અને એ ખૂણો કેટકેટલી યાદોથી ઝગમગી ઊઠ્યો!!
આજે આ કલમ ચાલી રહી છે, થોડીઘણી એક લેખિકા કવયિત્રી તરીકે ઓળખ મળી રહી છે, એ કેટલાય જણને, અને એક સાહિત્યસભર અસ્ખલિત વહેતી ગુજરાતી સાહિત્યસરિતાને આભારી છે. કેટલાય મિત્રો મળ્યાં અને સુખ દુઃખના સાથી બની રહ્યાં.

વિચાર લહેરી 
કમિટિનાં સભ્યો સાથે ઉષાબેન બીજી એવી મીઠી યાદ મારી બહેનના વર્ષો જૂના મિત્રોની જેમણે એ અજાણી ભૂમિ પર જ્યારે બહેન દૂર સાઉદી અરેબિયા હતી ત્યારે અમને સાચવી લીધાં, એમનામાંના જ એક ગણી બધા પ્રસંગો તહેવારોમાં સામેલ કર્યાં.
ત્રીજા જે મારા કાળજાનો ટુકડો બની રહ્યાં એ મારાં દિવ્યાંગ બાળકો. Houston School District માં મેં બાવીસ વર્ષ એ નિર્દોષ દિવ્યાંગ બાળકોને ભણાવ્યાં અને બદલામાં અખૂટ સ્નેહ, લાડ અને મમત્વ હું પામી. જીવન જીવવાની એક અનોખી રીત હું એમની પાસે શીખી સાથે જ જુદાજુદા દેશથી આવેલા મારા સહકર્મી સાથે પસાર થયેલાં એ દિવસો એ મસ્તી ક્યારેય ભુલાય એમ નથી.

સ્મરણોની કેડી પર આગળ વધતાં મારી લખેલી કેટલીક પંક્તિઓ યાદ આવી ગઈ.
સુખની ઘડી બહુ આવતી નથી,
ને આવે તો ઝટ ઓળખાતી નથી.
વીતી ક્ષણોની યાદ ભુલી ભુલાતી નથી,
ને આવનારી પળ કોઈથી રોકાતી નથી.કોઈ દુઃખમાં શોધે સુખ,
કોઈ સુખમાં શોધે દુઃખ,
માનવીની એ ઈચ્છા
હરદમ સંતોષાતી નથી.આવ્યું જો આ નવલું વર્ષ સામે,
સ્વાગત કરું હું એનું હર્ષ ઉલ્લાસે;
દિલથી કરું કામના વિશ્વશાંતિની,
મિટે શત્રુતા, જીત બસ માણસાઈની!!કહેવાય છે કે “ડુંગરા દુરથી જ રળિયામણા લાગતાં હોય છે અને The grass is always green on the other side of the fence.”
ભારત હતાં ત્યારે અમેરિકા જવાની તાલાવેલી હતી અને ત્યાં રહ્યાં પછી સગવડ સાથે થતી અગવડ પણ અકળાવતી. મસમોટા મકાનમાં બારી બહાર કોઈ માણસની શકલ જોવા મન તરસતું. આવી ઘણી બાબતો મનનો એક ખૂણો ખોતરતી રહેતી. મનનો એ અજંપો ચરમ સીમાએ ત્યારે પહોંચ્યો જ્યારે વય, અવસ્થા, તબિયતની નાજુકાઈએ વતન ફરી યાદ આવી ગયું અને બધું સમેટી ફરી માતૃભૂમિના શરણે બાકીની સફર પૂરી કરવાનો મનસુબો કરી લીધો.
બાળપણના સાથી તો ક્યારના તકાદો કરી રહ્યાં હતા અને મારી જ લખેલી કવિતા મને સંભળાવી રહ્યાં હતા.“મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
મિત્રોની મીઠી યાદ કદી વિસરાતી નથી!સંબંધો સહુ જિંદગીના થાય ભલે ઉપર નીચે,
કરી જે દોસ્તી એકવાર, ક્યારેય ભુલાતી નથી!રેતની એ લકીર નથી, ભુંસાય જે વાયરે,
મિત્રતાની ઈમારત કાળથી એ મિટાતી નથી!મળ્યા ન મળ્યા રોજ, રહ્યાં આઘા ભલે વર્ષોથી,
મળ્યા જે ક્ષણે, એ જ મસ્તી રોકી રોકાતી નથી!પહોંચ્યા ઉમરના એ મુકામે, કદી સાંપડે એકલતા,
વાતો દિલોની, મિત્ર વિના કોઈને કહેવાતી નથી!મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
મિત્રોની મીઠી યાદ કદી વિસરાતી નથી!!”આજે આ ૨૦૨૩ને વિદાય આપતાં એટલી જ પ્રભુ પ્રાર્થના છે કે નવું વર્ષ વિશ્વમાં માનવતાનો વાવટો લહેરાવે અને માનવીના દિલમાંથી નફરતના વિકરાળ રાક્ષસને નેસ્તનાબુદ કરે. અયોધ્યામાં રામમંદિરનું નવનિર્માણ થયું એવું રામરાજ્ય વિશ્વભરમાં ફેલાય એવી મનોકામના સહિત,
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
રાજકીય કોઠાઓને ભેદતું ઉખાણું: ભગતસિંહ
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
તે વીસમી માર્ચ આવું આવું હોય ત્યારથી ચિત્તનો કબજો મેઘાણીની આ યાદગાર પંક્તિઓ ન લઈ લે તો જ નવાઈ: ‘વીરા મારા! પંચ રે સિંધુને સમશાન રોપાણાં ત્રણ રૂખડાં હો… જી.’ આ રૂખડાં તે ભગતસિંહ, સુખદેવ ને રાજગુરુ.
હમણેનાં વરસોમાં ભગતસિંહનું નામ જરી જુદેસર ઊંચકાયેલું માલૂમ પડે છે. ભગવંત માનના નેતૃત્વ હેઠળ પંજાબમાં આપ સરકાર રચાઈ ત્યારે શપથવિધિ વાસ્તે એણે ચહીને ભગતસિંહના પૈતૃક ગામ પર પસંદગી ઉતારી હતી. સામાન્યપણે કોંગ્રેસ ને ભાજપમાં વહેંચાતા નકશા વચ્ચે પંજાબના સંદર્ભમાં આપ માટે ભગતસિંહની પસંદગી છે પણ સગવડભરી, કેમ કે ભગતસિંહ સરદાર ખરા પણ અકાલી દળ પ્રકારે બધ્ધ નહીં એવી રાષ્ટ્રીય ઓળખ એમની છે. આપ પંજાબથી ઊલટું, ભાજપ જે વિચારધારાકીય અખાડા ને નિંભાડાની પેદાશ છે એના પૂર્વસૂરિઓની મુશ્કેલી એ છે કે સ્વરાજ સંગ્રામ સાથે એમનો સીધો સંબંધ બધો વખત જડતો નથી. વ્યક્તિગત અપવાદકિસ્સા હશે, હેડગેવાર ૧૯૩૦માં સત્યાગ્રહમાં જોડાયાનું પ્રમાણ પણ છે, પણ સામાન્યપણે એક વિચારધારા તરીકે તેમ સંસ્થાકીય રીતે સ્વરાજ સંગ્રામ સાથે એનું અંતર રહ્યું છે. હવે સત્તા સંધાન સાથે પશ્ચાદવર્તી ધોરણે એ જોડાવાની કોશિશ કરે છે ત્યારે એણે પોતાના સંઘાડા બહારની પ્રતિભાઓને કો-ઓપ્ટ કરીને રોડવવું પડે છે.
આ સંજોગોમાં એક વિલક્ષણ સ્થિતિ પેદા થાય છે. સ્વરાજ સંધાનની લાયમાં ગાંધી-નેહરુ-પટેલ એ અનન્ય ત્રિપુટીમાંથી પટેલને જુદા પાડી પોતાના જાહેર કરવા પડે. નેહરુને તો સમજો કે ઝૂડવાનું ફાવે પણ ગાંધીને સરવાળે એળે નહીં તો બેળે સાચવી લેવા પડે. ગાંધીહત્યાને મુદ્દે સાવરકરની સંદિગ્ધ છબી સવાલો જગવે, એ સંદર્ભમાં સુભાષબાબુને ઓળવી લેવું તેમ ભગતસિંહનેય બોટી લેવું કંઈક સરળ ખરું. વળી બંને ગાંધીથી જુદી પડતી પણ રાષ્ટ્રીય સ્વીકૃતિપ્રાપ્ત પ્રતિભા પણ ખરી. ભગતસિંહના વીરમૃત્યુ મુદ્દે રાષ્ટ્રવાદી હઈલોજંબેમાં જોડાઈ તો જવાય, પણ ઘડીક રહીને વિચારધારાકીય રૂખનો કોઠો કમબખ્ત ભેદ્યો નયે ભેદાય.
૧૯૩૧માં ભગતસિંહની જે વીરપ્રતિમાથી લોકમાનસ ખાસું ખેંચાયેલું હતું, તેની સામે પછીનાં વર્ષોમાં ઉત્તરોત્તર એમની જેલનોંધ આદિ બહાર આવતાં જે છબી નિખરતી ગઈ એને અને ભાજપને લગભગ છત્રીસનો સંબંધ છે. આર્થિક-સામાજિક પરિવર્તનનો એક ઉદ્દામ કાર્યક્રમ અને માર્ક્સવિચાર સાથેની છબી જેમ જેમ સ્પષ્ટ થતી જાય તેમ ભાજપ સવાલિયા દાયરામાં મૂકાતો જાય. ભગતસિંહનું ઉખાણું નવરાશે છોડાવવા જેવું છે. ‘વંદે માતરમ્’થી ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ લગીની સમુત્ક્રાન્તિના એ ઈતિહાસપુરુષ છે. એમણે ‘રાષ્ટ્ર’માં બધ્ધ ન રહેતાં નીરક્ષીર વિવેકનો જે નિકષ વિકસાવ્યો છે એ સમજવા જેવો છે.
યુવા ભારત સામે ત્યારે બે નેતાઓ હતા- નેહરુ ને સુભાષ. આમ તો ભગતસિંહની સશસ્ત્ર મૂરત જોતાં એમને સારુ આઝાદ હિંદના ફોજના ભાવિ નિર્માતા સુભાષ પ્રથમ પસંદગી હોઈ શકે. પણ એમણે લખ્યું કે ભાવનાશાળી અને આદર્શવાદી બેઉ છે, પણ એકની જ પસંદગી કરવાની હોય તો હું જવાહરને પસંદ કરું. કારણ, સુભાષ ખાસા ઊર્મિલ છે અને વખતોવખત ભૂતકાળ માટેની એમની લાગણી ઉછાળા મારે છે. જ્યારે જવાહર નવા સમય સાથે ઉદ્દામ આર્થિક-સામાજિક કાર્યક્રમપૂર્વક કામ લઈ શકે એવી બૌદ્ધિક પ્રતિભા ધરાવે છે.
ગાંધી પરત્વે ભોમભીતર સુરંગ ને જાહેરમાં સ્વીકાર એવું જે દ્વિધાવિભક્ત વલણ જોવા મળે છે એમાં, બને કે, હાલના સત્તા-પ્રતિષ્ઠાનને ગાંધી ભગતસિંહને બચાવી ન શક્યા એ વાયકા હાથવગી લાગે. ૧૯૩૧ની 26મી માર્ચે વાઈસરોય ઈરવિને એમનાં વિદાયવચનોમાં કહ્યું છે તે સંભારી લઉં: અહિંસામૂર્તિ સમા ગાંધી શા સારુ એમનાથી સામા છેડાની વ્યક્તિઓ (ભગતસિંહ વ.)ની ફાંસીમોકૂફીની ભલામણ આ હદે ઊંડા દિલથી કરતા હશે એવો વિચાર મને સતત આવ્યો છે, પણ મને ફાંસીની સજા ફરમાવવા લાયક કેસનો આના જેવો બીજો દાખલો જડતો નથી.
ભગતસિંહને નહીં બચાવી શકાયાના મુદ્દે ગાંધી ટીકાપાત્ર લેખાયા છે. પણ નેહરુ-માલવિયાએ રજૂ કરેલ અંજલિ પ્રસ્તાવના સમર્થનમાં ભગતસિંહના પિતા કિશનસિંહ કહે છે, ‘છેલ્લી મુલાકાતમાં મને ભગતે કહ્યું હતું કે હું ભલે ફાંસીએ ચડું. મારી ચિંતા કરશો નહીં. પણ તમને આગ્રહપૂર્વક કહું છું કે તમે તમારા સેનાપતિનું (ગાંધીનું) પૂરું તાકાતથી સમર્થન કરો. કોંગ્રેસના નેતાઓને બરાબર સાથ આપો- તો જ સ્વતંત્રતા ફતેહ થશે.’ આ ઉદગારો સાથે, હેવાલ કહે છે, ગાંધી સામેનો કથિત રોષ કેમ જાણે આંસુમાં ફેરવાઈ ગયો.
સ્વાતંત્ર્યસંગ્રામના માર્ક્સવાદી ઈતિહાસકાર તરીકે સુપ્રતિષ્ઠ બિપીનચંદ્ર એમના આખર વરસમાં ભગતસિંહની જીવની પર કામ કરી રહ્યા હતા. એક મુલાકાતમાં એમણે પોતાના આકલનની વાત કરતા કહ્યું હતું કે થોડાં વધુ વરસ મળ્યાં હોત તો ભગતસિંહ એક અર્થમાં ગાંધીવાદી રૂપે મહોર્યા હોત. એમણે માર્ક્સવાદ છોડી દીધો હોત એવું હું નથી કહેતો. પણ એટલું ચોક્કસ સૂચવવા ઈચ્છું છું કે એમણે ગાંધીની ઢબે લોકઆંદોલન (અને સત્યાગ્રહ)ને માર્ગે કામ લેવું પસંદ કર્યું હોત. કોંગ્રેસ-ભાજપનું તો જાણે કે સમજ્યા પણ સ્વરાજનાં અમૃત વર્ષોમાં આપણે આપણા સ્વરાજલડતના વારસાને પાધરો સમજીએ તોયે ઘણું.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૮-૩-૨૦૨૬ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
વ્યંગ ગઝલઃ ……વિશે વાત કરો
વ્યંગ્ય કવન
હર્ષવી પટેલ
ઘર વિશે વાત કરો બહાર વિશે વાત કરોસાંકળે બેઉને એ દ્વાર વિશે વાત કરો.યુગ વિશે છોડોને! પળવાર વિશે વાત કરોરોકી લો કાળને, અત્યાર વિશે વાત કરોન કહો પહોંચી ગયા બાદ, છે મંઝિલ કેવી?પણ સફરના સહુ પડકાર વિશે વાત કરોતો કહો- ગીત વિશે, પ્રીત વિશે, મિત વિશેહરવખત આમ શું ચકચાર વિશે વાત કરો!તારી-મારી જો કરી એમાં સમજદારી શી?જો કરો આખા આ સંસાર વિશે વાત કરો!સૂર્યની માત્ર કથા કરશો તો રાત જ રહેશેશોધ છે તેજની? અંધાર વિશે વાત કરોજે પરોવ્યાં છે તમે મોતી એ રાખોને તમેપણ મને વીજના ચમકાર વિશે વાત કરો
સુશ્રી હર્ષવી પટેલ વ્યવસાયે શિક્ષિકા છે અને ગણદેવી તાલુકાના કેસલી ગામના વતની છે.
તેમની ગઝલોમાં મૌલિક્તા અને મઝાની ખુમારી હોય છે. તેઓ એક આજનો આગવો અને અસરકારક અવાજ છે..૨૦૨૫માં તેમને શયદા એવોર્ડ મળ્યો છે.
-
એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૮ મું.- કેસરીયાં
પ્રકરણ સાતમું. – છુપાં શસ્ત્રો થી આગળ
ઝવેરચંદ મેઘાણી
એક વખતનું ચુપચાપ પાડોશી જાપાન આસ્તે આસ્તે કોરીયાનું સલાહકાર બન્યું. વળી ધીરે રહીને મુરબ્બી બની બેઠું. જોતજોતામાં તો મુરબીશ્રીએ તોપો–તલવારો બતાવીને પોતાના આશ્રિતને પગ તળે ચાંપી દીધું. જગતને તો જાપાને એમ જ સમજાવ્યું કે આ બાપડી અજ્ઞાન પ્રજાને આબાદ કરવા, સંસ્કારી બનાવવા હું મહેનત લઉ છું.
આપણે જોયું કે એમ શાંતિથી, વિના બોલ્યે આ વીરપ્રજા વશ નથી થઈ ગઈ. ૧૯૦૭ ના ઘા જાપાન કદી નહિ ભૂલે. એ વરસમાં કોરીયાની સેનાને વિખેરી નાખતી વેળા, વીશ હજાર જાપાની યોધ્ધાઓની સામે, કોરીયાના સૈનિકો ઝુઝ્યા હતા, અને એક પણ સૈનિક રહ્યો ત્યાંસુધી પીઠ બતાવી નહોતી. લડવાનાં પૂરાં શસ્ત્રો પણ નહોતાં. એ વીશ હજાર અમાનુષી જાપાનીઓને એકેએક સૈનિકે પોતાનું લોહી પોવરાવેલું.
એ ઝપાઝપી તો છેક ૧૯૨૦ ની સાલ સુધી ચાલેલી. એ ‘ધર્મ સેના’ ની વાત આપણે વાંચી ગયા. કોરીયાની ભુજાનો જાપાનને અચ્છો પરિચય થઈ ચુક્યો હતો.
પણ કોરીયામાં એક ડાહ્યો વર્ગ મનન કરતો બેઠો હતો. એ શાણા પ્રજાજનો સમજતા હતા કે શસ્ત્રહીન કોરીયા જાપાનની તોપો–બંદુકો સામે ન ટકી શકે. એની મુરાદ તો એ હતી કે જાપાની તોપો–બંદુકો ઉખેડી નાખતા પહેલાં, જાપાની સંસ્કૃતિનું વિષ દેશના કાળજામાંથી કાઢવું પડશે, કોરીયાની પુરાતન સંસ્કૃતિની જગતને પિછાન દેવી પડશે, દેશે દેશના હૈયામાં અનુકમ્પા જગાડવી પડશે.
આ ધૈર્યવાન પુરૂષોએ આત્મ–બળ સજવા માંડ્યું.
મહાયુધ્ધે જગતમાં કઈ પ્રજાને નથી જગાડી ? વરસેલ્સના માંચડા પરથી છુટી નીકળેલા, અમેરિકન હાકેમના સ્વાધીનતાના સંદેશા કયા ગુલામને નથી પહોંચ્યા ? કોરીયાના મનોરથો પણ વીલ્સનનાં વાક્યોએ જગાડ્યા. કોરીયા પોતાને ઇન્સાફ મળવાની આશાએ આતુર બનીને બેઠું.
૧૯૧૮ માં દુનિયાએ હથિયાર હેઠાં મેલ્યાં, એટલે જાપાને કોરીયાની સમગ્ર પ્રજાની અંદર એક પત્રિકા ફેલાવી, અને તલવારની અણી બતાવી એ ઉપર સહી કરવા કહેવામાં આવ્યું. એ પત્રિકામાં શું હતું ? કોરીયાની પ્રજા તરફથી સુલેહની સભાને મોકલવાની એ એક અરજી હતી. કોરીયા તરફથી એમાં જણાવવાનું હતું કે “જાપાનની કૃપાળુ રાજસત્તાના અમે અહેશાનમંદ છીએ. અમે બન્ને મહાપ્રજાઓ અમારા નૃપતિ મીકાડોના છત્ર તળે એક બની ઉભાં છીએ. અમારે જુદી સ્વતંત્રતા નથી જોઈતી. અમને એ સિદ્ધાંત લાગુ પાડશો નહિ !”
સૈનિકોએ ખુલ્લી તલવારે આ અરજીખત ઉપર નામાંકિત પ્રજાજનોની સહી લીધી. પણ પેલા જરાગ્રસ્ત, જર્જરિત, અને આશાહીન રાજાએ કહ્યું કે “મારી નાખો, સહી કરીને મ્હારી પ્રજાને નહિ વેચી મારૂં ?” ૧૯૦૫ માં પોતે પોતાના પ્રાણ પ્રજાને ખાતર ન આપી શક્યો, એ વાત સંભારી સંભારીને રાજા રડતો હતો. એના મનમાં હતું કે “આજ તો એ મહાપાપનું પ્રાયશ્ચિત કરવા માટે પ્રાણનું બલિદાન આપી દઉં !”
જાપાનીઓએ રાજાને ઝેર દઈ તેનો જીવ લીધો. અપમાનથી ખરડાયેલો અને ઝીંદગીને હારી ગએલો વૃદ્ધ રાજા મૃત્યુને તો જીતી ગયો. જનની કોરીયા ! એનું અને એની બહાદૂર રાણીનું તર્પણ શું એળે જશે ?
રાજાના મરણની બીજી પણ એક વાત ચાલી હતી. કોરીયાનું વ્યક્તિત્વ આંચકી લેવા ખાતર જાપાને પોતાની કુમારી કોરીયાના યુવરાજની સાથે પરણાવવાનું કહેણ મોકલ્યું. યુવરાજ તો આનંદથી નાચી ઉઠ્યો. બુઢ્ઢો રાજા વિચારે છે કે હું હમણાંજ મરી જાઉં તો કોરીયાના રીવાજ પ્રમાણે ત્રણ વરસ સુધી વિવાહ નહિ થાય. અને ત્રણ વરસમાં શું કોઈ નહિ જાગે ? એમ સમજીને એણે વિષપાન કરી પ્રાણ કાઢી નાખ્યા. બેમાંથી ગમે તે વાત સાચી હોય, પણ રાજાનું મૃત્યુ તો ઉજ્જવળ બની ગયું.
રાજાજીના મરણના સમાચાર તો આગના ભડકાની માફક ચોમેર વિસ્તરી ચૂક્યા. ઝીંદગાનીની અંદર જે રાજા પ્રજાની પ્રીતિ ખોઈ બેઠો હતો તેના આવા પ્રાણ દાનથી પ્રજાનું અંતર પ્રેમમાં તરબોળ બની ગયું. જાપાની સરકારે તો રાજાના મૃત્યુની એના સરકારી છાપામાંયે નોંધ ન લીધી. શોકનો દિવસ પણ ન પાળ્યો, અને જાપાની રીત પ્રમાણે એનું દફન કરવાનું ઠરાવ્યું.
પ્રજા પૂછે છે, “અરેરે !એનું મડદું પણ અમને નહિ સોંપો ?”
જાપાની સત્તા કહે છે, “નગરના ગઢની બહાર કાઢ્યા પછી એ મુડદું તમને સોંપાશે.”
જીવતા જીવનું અપમાન ઓછું સાલે, પણ મુડદાનું અપમાન કોઈ પ્રજા નથી સાંખી શકતી. મૃત્યુની પવિત્રતા, ને ભવ્યતા કયા માનવીને અંતરે વસેલી નથી હોતી ?
કોરીયાવાસીઓના દિલ પર બહુ આઘાત થયો. પ્રજાએ વિચાર્યું કે દફનને દિવસે કાંઈક નવાજૂની તો કરવી જોઈએ. એક સમુદાય બોલ્યો કે “હવે તો હદ થઈ. આવો, જાપાનના એકે એક આદમીને રેંસી નાખીએ. દેશમાં અક્કેક જાપાનીનો જીવ લેવા સાઠ સાઠ દેશજનો જીવતા છે. એક વાર કતલ કરી નાખીએ. પછી ચાહે તે થાજો !”
પણ બીજો ડાહ્યો ને દયાવંત વર્ગ બોલ્યો, “આવી કતલથી તમે જગબત્રીશીએ ચડશો. જાપાન વધુ દારૂગોળો, ને વધુ નવા જુલ્મો લાવવાનું વ્યાજબી ઠરાવશે. આપણને જેર કરી નાખશે. આપણી આગળ હથિયાર કયાં ?”
સલાહ સ્વીકારાણી.
સ્વાધીનતાનું જાહેરનામું તૈયાર થયું. દેશના તેત્રીશ નાયકોએ એના ઉપર સહી કરી. એની નકલો ગામડે ગામડે ચુપચાપ પહોંચી, વંચાણી, ને મંજુર થઈ. દફનને દિવસેજ એ સંદેશો ગામેગામમાં પ્રગટ થવાનો હતો. ચુપાચુપ, બે કરોડ માણસોની અંદર આ તૈયારી થતી હતી. બે કરોડમાંથી એક બાલક પણ આ વાતથી અજાણ્યું નહોતું. છતાં આખા દેશમાં અદ્ભુત શાંતિ ! જાપાની કાગડો પણ ન જાણે કે શું થઈ રહ્યું છે.
જાપાનીઓને જરાક ગંધ આવી કે દફનને દિવસે કાંઈક થવાનું છે. દફનને દિવસે સભા ભરવાની જ મનાઈ થઈ. પ્રજાના આગેવાનોએ સોમવારને બદલે શનિવાર ઠરાવ્યો. જાપાની કૂતરૂં પણ આ વાત જાણી ન શક્યું. યશસ્વી શનિવાર આવી પહોંચ્યો. પેલા તેત્રીશ મરણીયા સરદારોમાંથી બે તો બહારની દુનિયાને ખબર પહોંચાડવા શાંગાઈ પહોંચેલા. બાકીના ત્રીશ બહાદુરો એક નામાંકિત હોટેલમાં છેલ્લી વારને માટે ભેળા બેસી ખાણું ખાવા મળ્યા, ને મુખ્ય જાપાની અધિકારીઓને પણ ભોજન લેવા નોતર્યા.
જાપાનીઓ એમ જ મલકાઈ ગયા કે આખરે કોરીયાવાસીનો ગર્વ ગળ્યો ખરો–આખરે તેઓ ઠેકાણે આવ્યા ખરા. રાત્રીના બારના સમયની તૈયારી હતી. એક સુશોભિત ટેબલ પર પથરાએલ વિપુલ અન્નપાનની સામગ્રીને જાપાની અધિકારીઓ ન્યાય આપી રહ્યા છે, એટલામાં બારનો ટકોરો થયો. અને કોરીયનોનો અગ્રેસર અચળ શાંતિપૂર્વક વદન ઉપર મધુર હાસ્ય ફરકાવતો ઉભો થયો. એક કાગળ કાઢી તેમાંનું લખાણ વાંચવા તૈયારી કરી. આખું મંડળ સ્વસ્થ થઇ ગયું. સઘળે શાંતિ છવાઈ ગઈ.
‘અમારી–મ્હેમાનોની સ્તુતિ–પ્રશંસા કરવાનો પણ કાર્યક્રમ રાખ્યો જણાય છે.” જાપાની અધિકારીઓ ખુશ થવા લાગ્યા, અને બોલનારના શબ્દો ઝીલવા શ્રવણઇંદ્રિયને સતેજ કરી.
અદ્ભૂત ગંભીરતાથી, અપૂર્વ સ્વસ્થતાપૂર્વક કોરીયન અગ્રેસરે ગર્જના કરી,
“આજે, આ સ્થળેથી, અમે કોરીયાનિવાસીઓ અમારી પ્રજાની સ્વાધીનતા જગત્ને જાહેર કરીએ છીએ.”
સાત આકાશ જાણે સામટા તૂટી પડ્યા હોય, વિદ્યુતનો કોઇ પ્રબળ પ્રહાર થયો હાય તેમ, જાપાની અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા, ગભરાઇ ગયા. આગળ શું થાય છે તે જોતાં બેસી રહ્યા.
કોરીયન અગ્રેસરે આગળ ચલાવ્યું,
“છેલ્લા પાંચ હજાર વર્ષના સ્વાધીનતાના અમારા ઈતિહાસના અનુભવબળે, અને અમારી બે કરોડ પ્રજાના સંપૂર્ણ સમર્થનથી આજે આ જાહેરાત અમે જગત્ સન્મુખ કરીએ છીએ. નવીન યુગની નવજાગૃતિને અનુરૂપ સ્વતંત્રતા અમારી સંતતિને બક્ષવા આ પગલું અમે લઈએ છીએ. સ્વાધીનતા એ કર્તાની કરણીનો ઉદ્દેશ છે, વર્તમાન યુગના આચાર્યોનો ઉપદેશ છે અને માનવજાતિનો અધિકાર છે. સ્વાધીનતા એવી વસ્તુ નથી કે જે દાબી દબાવી શકાય, ચગદી ચગદી શકાય કે ઝુંટવી ઝુંટાઈ શકાય.
હજારો વર્ષસુધી પ્રજાકીય સ્વાધીનતાનો ઉપભોગ કયા બાદ આજે જ્યારે જગત્ નવીન યુગમાં પ્રવેશ કરે છે ત્યારેજ પેલી જરીપૂરાણી જોહૂકમીના અને પશુબળ તેમજ લૂંટફાટની જ્વાળાના અમે શિકાર થઈ પડ્યા છીએ. છેલ્લા દશકાથી પરદેશી જૂલમની વેદનાથી અમે પીડાઈએ છીએ–જીવવાનો અમારો અધિકારજ જાણે ઝુંટવી લેવામાં આવ્યો છે; અમારા વિચારસ્વાતંત્ર્ય ઉપર અંકુશ મૂકવામાં આવેલ છે અને પ્રજાકીય જીવનની અમારી પ્રતિષ્ઠાને લૂંટી લેવામાં આવેલ છે.
ભૂતકાળની ભૂલો સુધારવી હોય, અમારી વર્તમાન વેદના વિદારવી હોય, અમારા ઉપરના ભાવી જૂલ્મો જો જતા કરવા હાય, અમને વિચારસ્વાતંત્ર્ય બક્ષવું હોય, અમારા વ્યવહારમાં સ્વતંત્રતા સાચવવા દેવી હોય, અમને સહજ પણ પ્રગતિના માર્ગે પ્રયાણ કરવા દેવું હોય, દુઃખ અને નામોશીભર્યાં ગુલામીના વારસામાંથી અમારી સંતતિને મુક્ત કરવા દેવી હોય અને તેમને માટે સુખ અને સંતોષ મૂકી જવા દેવા હોય, તો એ સર્વ માટે એકજ વસ્તુ આવશ્યક છે–અમને સ્વાધીન રહેવા દ્યો.
જે સમયે સત્ય અને ન્યાય માટે જગતનું જીગર તલપી રહ્યું છે, ત્યારે અમારામાંનો દરેક પોતાનું અંતર મજબૂત કરે તો બે કરોડની પ્રજા શું શું ન કરી શકે ? શા શા બંધનો ન તોડી શકે ? શા શા મનોરથો સિદ્ધ ન કરી શકે ?
જાપાને અમારા તરફ અઘટિત વર્તન ચલાવ્યું છે, અમારી સંસ્કૃતિને તેણે ધિક્કારી કાઢી છે, અથવા તો અમારા ઉપર તેણે જૂલ્મ કર્યો છે, તે સંબંધી અમારે કશું જ કહેવાનું નથી. જ્યાં અમારા પોતામાંજ દોષો ભરપૂર ભર્યાં હોય, ત્યાં પારકાના અવગુણ ગાવામાં અમારો કિમ્મતી સમય કાં વ્યર્થ વીતાવવો ? જ્યારે ભવિષ્યના કાર્યક્રમમાં અમારે મશગૂલ થવું ઘટે છે, ત્યારે ગઇગૂજરી શા અર્થે સંભારવી ? અમારા અંતરાત્માની આજ્ઞાનુસાર ભવિષ્યના તમામ અનર્થો દૂર કરી અમારો માર્ગ સાફ કરવા આજે અમને ઘટે છે. ભૂતકાળના દુઃખો અથવા તો વૈરવિરોધના પ્રસંગો સ્મરણમાં લાવી અમારા અંતર્માં ક્રોધ કે કડવાશ ઉત્પન્ન કરવા અમે નથી માગતા. અમારૂં ગુરૂ કાર્ય તો આજે એજ છે કે પશુબળની પૂરાણી પ્રથાને વશ બનેલ, વિશ્વનિયમ અને ઔચિત્યબુદ્ધિથી વિરૂદ્ધ વર્તેલ જાપાનની સરકારને અમારે સમજાવી દેવું કે તેણે હવે સુધરવું જ જોઇશે—સત્ય અને ન્યાયને માન આપવું જ પડશે. અમારે તો જાપાની સરકારનું હૃદય પીગળાવવું છે. આજ એ હૃદયની અંદર પશુબળની પુરાણી વૃત્તિ વસી રહી છે. અમારાં લોહી આપીને અમે એ રાક્ષસી હૃદયને પલટાવીશું; પછી જાપાન નીતિ, ધર્મ અને સત્યને પંથે પળશે.
કોરીયાને તમે જાપાન સાથે જોડી દેશો તેનું શું પરિણામ ? તમારી અને અમારી પ્રજાનાં હૃદયો વચ્ચે તો ઝેરવેરની ખાઈઓ ખોદાતી જશે, પ્રતિદિવસ ઉંડી ને ઉંડી ખોદાતી જશે. બ્હેતર રસ્તો તો એ છે કે સાચી હિંમત વાપરી પાક દાનતથી તમારાં પુરાણાં પાપોનું નિવારણ કરો, મહોબત અને મિત્રતા આદરો, કે જેને પરિણામે નવો યુગ મંડાશે, અને બન્ને પ્રજાઓને સરખું સુખ મળશે.
કોરીયાની સ્વાધીનતા અમને જ માત્ર જીવન આપશે એમ નથી. એ સ્વાધીનતા તમને પણ પાપના માર્ગ પરથી ઉગારી લેવાની, એશિયાના સંરક્ષકની પ્રતાપી પદવીએ તમને સ્થાપવાની–પરિણામે ચીન પણ તમારાથી ત્રાસતું બચશે. તમારા પરના દુર્બળ કોઈ ગુસ્સાની અંદરથી આ વિચારો નથી પ્રગટતા, પણ વિશ્વકલ્યાણ અને વિશ્વપ્રેમની મહાન્ મુરાદોની અંદરથી ઉઠી રહ્યા છે.
અમારી દૃષ્ટિ સન્મુખ આજે નવીન યુગ ઉભો થયો છે. પશુબળનો યુગ તો હવે ભૂતકાળના ઈતિહાસની વાત થઈ ગઇ. જૂના જગત્ના દુઃખભર્યા અનુભવે આપણને નવું જ્ઞાન અને નવો પ્રકાશ આપ્યા છે. સર્વને સર્વનું સુપ્રત કરી દેવાનો આ યુગ છે. આવા આ યુગના મધ્યાહ્નકાળે અમારી સ્વાધીનતા ખરી કરવા આજે અમે મેદાને પડીએ છીએ. અમે હવે વિશેષ વિલંબ કરતા નથી. કોઇપણ હવે અમને ડરાવી કે દબડાવી શકશે નહિ.
જૂની દુનિયાના અંધકારભર્યા આવાસોમાંથી હવે અમે પ્રકાશને પંથે ચડ્યા છીએ. સત્યને અમારો સાથી બનાવીને, સ્વાશ્રયનો જ માત્ર આધાર રાખીને, સંપૂર્ણ નિશ્ચયબળથી, એકદિલે અને એકચિત્તે અમારો અર્થ સાધવા આજે અમે બહાર પડીએ છીએ. શિયાળાના બરફ અને ઝાકળથી ઠરી ગયેલી કુદરત સૂર્યદેવના આછા કિરણોથી અને વસંતઋતુની મધુર લહરીથી આજે જાગૃત થઈ છે. તે સાથે અમે પણ આજે જાગૃત થયા છીએ. અમારા પિતૃદેવો સ્વર્ગમાં રહ્યા રહ્યા અમને સહાય કરો ! જગત્ના સર્વ શુભ બળો અમારી કુમકે આવો ! અને અમારા નિશ્ચયના આ દિવસથી જ સ્વાધીનતાની પ્રાપ્તિ અમોને થઇ જાઓ ! એવી જ્વલંત આશા સાથે આજે અમે અમારૂં કાર્ય શરૂ કરીએ છીએ.”
જાપાની અધિકારીઓ હજી તો પોતાની વિસ્મય–નિદ્રામાંથી જાગૃત ન્હોતા થયા, ત્યાં તો ઢંઢેરો વાચનાર અગ્રેસરે શહેરના મુખ્ય પોલિસ અધિકારીને ટેલીફોન ઉપર બોલાવી તેમને સર્વને પકડી જવા આમંત્રણ કર્યું. તેને કહેવરાવ્યું કે ‘તમારા મહેમાન થવા અમે સજ્જ થઈ બેઠા છીએ–કેદીનું પાંજરૂં મોકલાવો !’
પોલીસ મોટર આવી પહોંચી. ત્રીસ શૂરાઓ બંદીખાને ઘસડાયા. માર્ગમાં લોકોની મેદિની માતી નથી. વાવટાનું જાણે કોઇ જંગલ ખડું થયું. ત્રીસ શૂરાઓને કાને ડગલે ડગલે પ્રચંડ ધ્વનિ સંભળાય છે કે “અમર રહો મા કોરીયા !”
ગામડે ગામડે લોકોએ કેસરીયાં કર્યાં છે, સ્વાધીનતાનો સંદેશ વંચાય છે, વાવટા ઉડે છે, અને ગર્જના ઉઠે છે કે “અમર રહો મા કોરીયા !”
પ્રજા પાગલ નથી બની, ભાન નથી ભૂલી. તે સારી રીતે સમજે છે કે, બીજી પ્રભાતે એનાં પ્રત્યેકનાં માથાં ઉડવાનાં છે. પણ આજ તો ખોવાયેલી માતા મળી છે. જનેતાની છાતીમાંથી સ્વતંત્રતાના ધાવણની ધારાઓ છૂટી છે. આજ એ તરસ્યાં સંતાનો મોતનો ભય ભૂલ્યાં છે. પોલીસો કમર પરના પટ્ટા ફેંકી દે છે, બાલકો ને બાલિકાઓ નિશાળો ખાલી કરે છે, અને નિર્ભય નાદે ગરજી ઉઠે છે કે “અમર રહો મા ! અમર રહો મા ! અમર રહો માતા કોરીયા !”
આવા નિર્ભય અને પ્રતાપવંત જાહેરનામાની નીચેજ ત્રણ કલમો ટાંકેલી.
૧. સત્ય, ધર્મ અને જીવનને ખાતર, સમસ્ત પ્રજાના આદેશ અનુસાર, પ્રજાની સ્વતંત્રતાની ઈચ્છાને અમે જાહેર કરીએ છીએ. સાવધાન ! કોઇને પણ કશું પીડન દેવાનું નથી.
૨. જે અમારો સાચો સાગરિત હશે તે તો સદાને માટે; પ્રત્યેક કલાકે અને પ્રત્યેક પળે, આનંદની સાથે અહિંસક બની રહેશે.
૩. આપણે કામ લેવાનું છે તે એવી તો સભ્યતાપૂર્વક ને વ્યવસ્થાપૂર્વક કે આખર સુધી આપણું આચરણ નિર્મળ અને માનવંત બની રહે.
જગત આખું તાજ્જુબ બન્યું. પરદેશીઓને તો લાગ્યું કે ગગનમાંથી જાણે કોઈ વજ્ર પડ્યું. પરદેશીઓ જાણતા હતા કે જાપાની રાજસત્તાનો જાપતો કેવો ભયાનક હતો. કોરીયાના એકેએક આદમીનું નામ સરકારને ચોપડે નોંધાતું, દરેકને એક નંબર મળતો, અને પોલીસ આ નંબર જાણતી. પરગામ જતી વેળા પોલીસની પોથીમાં કોરીયાવાસીએ પોતાના કામકાજની વિગત લખાવવી પડે. પોલીસ એ બીજે ગામ તારથી તપાસ કરાવે છે એ વાત સાચી હતી કે ખોટી. નોંધાવ્યા મુજબ હકીકત ન નીકળે તો કોરીયાવાસીનું આવી બનતું.
પ્રત્યેક માણસનું નામ અમુક વિભાગમાં નોંધાતું. કોરીયાવાસી જરા આગળ પડતો થાય કે એનું નામ [અ] વિભાગમાં ચડી ચૂક્યું હોય. પછી એની પછવાડે છૂપી પોલીસ ફરે. ન્હાસી જનારા માણસને તો પોલીસ પૂરો જ કરી નાંખે. ફરી એ ઘેર આવે નહિ.
આવા સખ્ત ચોકીપહેરાની વચ્ચે, આવા ઘોર કાયદાની ઉઘાડી આાંખ સામે, ને છુપી પોલીસથી ઘેરાયેલા આવા દેશની અંદર, આખરની ઘડી સુધી જાપાની કાગડો પણ એક મહાન્ ઝુમ્બેશને જોઈ ન શકે, એ વાતની અજાયબી તો આખી દુનિયાના મનમાંથી હજુ મટી નથી.
ઘણા વરસોનો અબોલ બની ગએલો પેલો ચાન્ગો નગરનો પ્રાચીન ઘંટ રણકી ઉઠ્યો શીઉલ નગરને પાદરે ઉભેલો “સ્વાધીનતાનો દરવાજો” ફરી શણગારાયો અને નામસાનના શિખર પરની જ્વાળા સ્વાધીનતાનો સંદેશો ફેલાવતી ઝળહળી ઉઠી. ગલીએ ગલીએ, ને ઘેરે ઘેરે ગર્જના થાય છે કે “અમર રહો, માતા કોરીયા !” સ્ત્રી, પુરૂષ કે બાલકના હાથમાં એક જ ચીજ છે–કોરીયાનો વિજયધ્વજ.
બંદીખાનાઓની અંદર બંદીવાનો બેઠા બેઠા શું કરે છે ? — માતા કોરીયાના વાવટા તૈયાર કરી રહ્યા છે.
આખી ઝુંબેશને અદ્ભૂત બનાવી દેનાર તો લોકોની શાંતિ હતી. તોફાનનો એક ઇસારો પણ નહિ, મારપીટનો એક પણ કિસ્સો નહિ !
પહેલું જાહેરનામું કાઢનારા તેત્રીસ નેતાઓ ગિરફ્તાર થયા. નવાઓએ તેની જગ્યા પૂરી. તત્કાળ જાહેરનામું કાઢ્યું કે
“ધન્ય છે તમારી પ્રતાપભરી શાંતિને ! હે બંધુજનો ! એ શાંતિને બરાબર જાળવજો. મારપીટ કરનારો માણસ, માતા કોરીયાનો વેરી બનશે !”



કોરીઅન હડતાળનો એક દેખાવ:–
સજ્જડ બજારોમાં જાપાની સેના પહેરો ભરે છે. [પા. ૧૫]કોરીયાનો જયઘોષ કરનારને ઠાર કરવા ઉભેલી જાપાની સેના. [પા. ૬૫]
આવતા અંકેઃ પ્રકરણ ૯ મું. – ભીષ્મ પ્રતિજ્ઞા.
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
-
હેમંત કુમાર – આંચલસે ક્યું બાંધ લિયા, મુઝ પરદેસીકા પ્યાર!
સંગીતની કેડીએ જિપ્સીનો વિસામો
કેપ્ટન નરેન્દ્ર ફણસે
“શાને બાંધ્યો મને સ્નેહના તાંતણે?”
આપણી મુગ્ધાવસ્થામાં કોઇ સુંદર કન્યાએ આપણી સામે જોઇને કરેલું મોહક સ્મિત ચિત્તમાં જેમ કાયમ માટે ચિત્રીત થાય, તે રીતે કેટલાક ગીતો પણ મનના ટેપ રેકોર્ડરમાં કાયમ માટે અંકાઇ જતા હોય છે. બસ, કોઇ વાત, કોઇ શબ્દ અથવા હવાની એવી લહેર આવીને મન, ચિત્ત અને હૃદયના તાર પર હળવો સ્પર્શ કરી જાય, તે સ્મિત, ગીત અને પ્રસંગ ફરી એક વાર અંતરની આંખ – ‘inward eye’ સામે અભાવિત રીતે ઉપસ્થિત થાય છે, તેના સૂક્ષ્મ સૂર કાનનાં પડદાને ઝંકારી જાય છે. હોઠનાં ખૂણાં થોડા મરકી ઉઠે. આવું થાય ત્યારે કોઇ પૂછે, ‘અરે ભાઇ, ક્યાં ખોવાઇ ગયા છો?’ તેને કેમ કરીને કહેવાય કે ભાઇ, જાગૃતાવસ્થાનું સ્વપ્ન, જેને કવિઓ reverie કહે છે, તે આ જ હોય છે? કેવી રીતે તેને સમજાવીએ કે વિતેલા જીવનમાં અનુભવેલા પ્રેમ, વિયોગ, ભગ્ન હૃદયની વિષમ અવસ્થાને ફરીથી કોઇ યાદ કરાવે છે? વિચારો આવે છે:
કેટલું રમ્ય એ બાલપણ હતું?
સ્નેહના તાંતણે આ પરદેશીના પ્રેમને તમે શા માટે બાંધી લીધો? આવતી કાલનું પ્રભાત ઉગે તે પહેલાં તો હું ચાલ્યો જવાનો છું!
પાષાણ સમું જેમનું હૃદય હોય, તેને હૃદયમાં સ્થાન આપીને શું કરીશું?
આ રજની, આ ચાંદની ફરી ક્યારે મળશે? અરે, આજે તો તમે મારા હૃદયની કથની સાંભળતા જાવ!
વ્યક્ત-અવ્યક્ત પ્રેમ, ઝંખના, વિયોગને કવિએ શબ્દ આપ્યા, તેને જીવંત કર્યા હેમંત કુમાર મુખોપાધ્યાયે. હા આપણા હેમંતકુમારે!
રવીંદ્રસંગીતમાં બંગાળી અને પ્રવાસી બંગાળીઓ (Non Resident Bengali!)નાં ચહેતા આ ગાયકે પહેલી વાર હિંદી ગીત ગાયું ત્યારે બિનફિલ્મી ગીતોના જગતમાં વિદ્યુલ્લેખા ચમકી. વિજળીનો આ તરંગ એવો હતો કે તેની ચમક અનેક વર્ષો સુધી સંગીત-નભમાં દમકતી રહી. ગીત હતું, ‘આંચલસે ક્યું બાંધ લિયા, મુઝ પરદેસીકા પ્યાર!’
આ ગીત સાંભળતાં આંખની સામે ફિલ્મ ‘જવાબ’નું દૃશ્ય જરા જુદી રીતે ઉભું થતું. અહીં પરદેશી યુવાન સ્મતિભ્રંશથી પીડાતો નથી. નાનકડા wayside stationના સ્ટેશન માસ્તરની મુગ્ધમનની યુવતી તેને નયનો દ્વારા સ્નેહને તાંતણે બાંધી લે છે, પણ કહી શકતી નથી કે તે યુવાનને ચાહે છે. યુવાન જાણે છે કે સૂર્યનાં પહેલાં કિરણો ક્ષિતીજમાંથી ડોકિયું કરે તે પહેલાં તેને જતાં રહેવાનું છે અને ….
બસ આગળ તો આપે આ ગીત સાંભળવું જ રહ્યું! હેમંતકુમારે કેટલી ઉત્કટતા અને સમજથી ગીત ગાયું કે રેકૉર્ડ બહાર પડતાં જ સંગીત નભમાં એક તેજસ્વી તારાનો ઉદય થયો!
ત્યાર પછી ‘ભલા થા કિતના અપના બચપન’ આવ્યું. કોઇ કોઇ ઠેકાણે અપદ્યાગદ્ય જેવી લાગતી પંક્તિઓનું આ ગીત કેમ ન હોય, રસિકોએ તેને ક્ષુધાતુર ચાતકની જેમ માણ્યું.
અને પછી સિલસીલો શરૂ થયો:
‘પત્થરકી તરહ હો દિલ જીસકા, ઉસે દિલમેં બસા કર ક્યા કરેં?’
હેમંતબાબુની repertoire તથા ગાન-ક્ષિતિજ એટલાં વિસ્તીર્ણ હતા, કે તે સમયે તેમણે ગાયેલ ભક્તિગીતમાં પણ તેમના હૃદયનો ભાવ સ્પષ્ટ થતો અનુભવાતો. કોઇ પણ સુગમ સંગીતના ગાયક બાગેશ્રીમાં કોઇ ગીત ગાય, જિપ્સીને તો હેમંતબાબુએ ગાયેલું ‘મધુબનમેં ન શ્યામ બુલાવો‘ યાદ આવી જતું. તેમાં પણ તેઓ આર્તસ્વરે ગાતાં, “બેબસ કો દુનિયા ઠુકરાયે, તુમ તો નહિં ઠુકરાવો‘ ગાઇ સમ પર આવે ત્યારે શ્રોતાને રોમાંચ થઇ આવે! અને બીજા અંતરામાં ‘જીસ દિલમેં તુમ્હારા પ્યાર બસા, ફિર સૂના મન ગુલઝાર બના/તુમ બસંત બન કર આઓ..‘ સાંભળીએ તો ખરેખર રાધિકાના હૃદયમાં વસંત કેવી રીતે ખિલી ઊઠ્યો હશે તેનો અંદાજ આવી જાય! બંગાળીમાં ‘અદ્ભૂત’ શબ્દ છે, પણ સાચે જ કોઇ અદ્ભૂત વાત જોવામાં કે સાંભળવામાં આવે, તેઓ બોલી ઉઠે છે, ‘ચોમોત્કાર!’ હેમંતબાબુનું ‘મધુબનમેં..’ ગીત પૂરૂં થાય ત્યારે આ જ શબ્દ મુખમાંથી નીકળે: ચોમોત્કાર!
હેમંતબાબુની ભાવથી નિતરતાં ગીત ગાવાની શૈલી પણ આગવી જ. ફિલ્મ જગતમાં આવ્યા બાદ તેમણે ગાયેલા ગીતો હજી હૃદય હલાવી દે. વર્ષો વિતી ગયા છતાં તેમણે ગાયેલા ગીતોને હજી પણ ‘ભૂલે બિસરે ગીત’માં સ્થાન આપવાની કોઇની હિંમત નથી ચાલી. તેમણે જે ફિલ્મોમાં ગીતો ગાયા, કોઇ ભુલી શક્યું નથી. અરે, સાવ અજાણી ગણાતી ફિલ્મ ‘બાદબાન’ (મહાનાયક અમિતાભ બચ્ચનનું નહિ, પણ ખુદ અમિતાભ જેમને મહાનાયક કહે છે તે દિલીપસાહેબની ફિલ્મ)માં તેમણે ગાયેલું, “કૈસે કોઇ જીયે?’ યાદ છે આપને? તેમાં જે રીતે તેમણે ‘ઊઠા તુફાન, આસકે સબ બુઝ ગયે દિયે..’ ઉપાડ્યું, દિલમાં તીવ્ર કસક ઉપડે. ખાસ તો છેલ્લા અંતરામાં‘પ્યાસે પપિહરે…’ ઉચ્ચારે છે ત્યારે દિલીપકુમારના ભાવ અને તેને સંપૂર્ણ રીતે ઓપી ઉઠે તેવા સૂરમાં હેમંતબાબુએ આ ગીત ગાયું. આ ગીતના સંગીતકાર તિમીરબરને આ સાંભળીને ‘ચોમોત્કાર’ જરૂર કહ્યું હશે.
હંમેશની જેમ જિપ્સી કલાકારના જીવનની તારીખોમાં ઉલઝાવાને બદલે તેમની કલાનો આપની સાથે મળીને રસાસ્વાદ કરવામાં માને છે. કવિનો કલામ બંધ મહેફીલમાં સંકોચાઇ ન રહે તે માટે સૂરસર્જક તેને melody – બંદીશમાં ઢાળે અને શ્રેષ્ઠ ગાયકની ખુબી કવિ તથા સૂરસર્જકના ભાવ, તેમનાં સંવેદનોને સમજી તેમાં પોતાના પ્રાણ ઉમેરવામાં હોય છે. પછી ભલે તેમને અંતરાની ચારે’ક પંક્તિઓ ગાવાનું કહેવામાં આવે કે આખું ગીત. પંડિત હૃદયનાથ મંગેશકરે સંગીતબદ્ધ કરેલું માછીમારોનું કોંકણી ગીત ‘મી ડોલકર, દર્યાચા રાજા’ તેમણે હેમંતબાબુ તથા લતાદીદી પાસે ગવડાવ્યું તે હજી ગવાય છે, સંભળાય છે, કદી ભુલાયું નથી અને ભુલાશે નહિ!
હેમંતબાબુના ‘હિટ‘ થયેલા ગીતો અસંખ્ય છે. કયા ગીતને અહીં રજુ કરીએ, ક્યા ગીતને ફરી ફરી સાંભળવાનું મન થાય, મન અચંબામાં પડી જાય. એક એક ગીતની પંકતી મનના દરવાજા પર સાંકળ ખખડાવે છે, અને કહે છે, અમને અંદર આવવા દો! ખાસ કરીને પૂર્ણ કળાએ ખિલેલી ચાંદનીમાં સમુદ્રની લહેરો સાથે આવતા મંદ પવનમાં ગિટારના ઝણકાર સાથે હેમંતબાબુએ ગાયેલું, સચિન દેવ બર્મને સુરબદ્ધ કરેલું ‘યે રાત યે ચાંદની ફિર કહાં….’ કદી ભૂલાશે?
હેમંતબાબુ વિશેની વાત જિપ્સી અહીં પૂરી કરશે તો તેમના પ્રત્યેના આદરમાં અપૂર્ણતા મહેસૂસ થશે. હજી તો કેટલીયે વાતો કરવી છે, ગીતો સાંભળવા છે, જેને તે આવતા અંકમાં રજુ કરશે.
આજે તો અહીં વાત પૂરી કરવી પડશે! જતાં જતાં તેમણે live concertમાં ગાયેલું ગીત “ઝીંદગી કિતની ખુબસુરત હૈ…” સાંભળીશું. આવા સંગીતકારોનાં ગીતો આપણાં જીવનમાં જ્યાં સુધી છે, જીવન હંમેશા સૌંદર્યપૂર્ણ રહેશે.
હવે પછી –
હેમંત કુમાર – ‘તુમ્હારા ઇન્તઝાર હૈ!’
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૧
રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

અલ્પા શાહ
નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.
કવિવરના જીવનમાં પ્રેમ તત્વ કેન્દ્ર સ્થાને હતું – પછી એ પ્રેમ પરમેશ્વર તરફનો હોય કે પ્રકૃતિ તરફ હોય કે પ્રિયજન તરફનો. મનોવિજ્ઞાન એવું માને છે કે જે વ્યક્તિ પોતાની આસપાસ અકારણ પ્રેમની લ્હાણી કરી શકે તે વ્યક્તિ સંવેદનાઓથી છલકતી હોય…કવિવરના હૃદયમાં પણ પ્રેમની શાશ્વત ધારા વહેતી હતી અને કદાચ એટલે જ તેમનું મન અને કલમ સંવેદનાઓથી ભરપૂર હતા.
આજના આ ખાસ દિવસે, પ્રેમ પારજોયની એક અતિ પ્રખ્યાત, પ્રચલિત અને સંવેદનશીલ રચનાને આપણે જાણીશું અને માણીશું. આ કવિતામાં ગુરુદેવે જેણે પ્રેમનો પ્રત્યક્ષ એકરાર કર્યો નથી એવા પ્રેમીના મૃદુ મનોભાવોનું ખુબ બારીકાઈથી આલેખન કરેલું છે. 1885માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે આ ભાવપૂર્ણ બંગાળી કવિતા નું શીર્ષક છે ” কতবারভেবেছিনু” (Kotobaro Bhebechinu). તેનું ભાવાનુવાદિત શીર્ષક છે “કેટલી વાર કરું વિચાર…”. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપેભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું. કવિવરે આ કાવ્યની રચના એક English song પરથી પ્રભાવિત થયા બાદ કરી હતી.આ કાવ્યમાંકવિવરે મૂળ ગીતનું હાર્દ જળવાઈ રહે તેવી રીતે બંગાળી શબ્દોની શબ્દગૂંથણી કરી છે.
This song is based on the English song titled “To Celia” written by famous English playwright and poet Benjamin Jonson and first published in 1616. This English song is famous as “Drink to me only with thine eyes” song. કવિવરે બંગાળી ગીતનું સ્વરાંકન પણ English song પ્રમાણે જ કરેલું છે.

ગુરુદેવે આ કાવ્ય કેવા સંજોગ અને સંદર્ભમાં લખ્યું હતું તેની તો મને ખબર નથી પણ ઋજુ લાગણીઓનેદર્શાવતા આ કાવ્યમાં જે એકપક્ષીય, અવ્યક્ત પ્રેમ unexpressedlove નું આલેખન થયેલ છે એ કદાચ સૌથી વધુ પીડાદાયક પ્રેમ ગણી શકાય. અહીં સામેનુંપાત્ર તમારી તેના પ્રત્યેની લાગણીઓથી તદ્દન અજાણ હોવાથી પ્રેમનો પ્રતિસાદ સાંપડતોનથી. The most painful love there is, the love left unshown and an affection left unknown. And the most painful thing about such unexpressed love is, it never fades away. આ અવ્યક્ત પ્રેમ માત્ર સ્ત્રી અને પુરુષવચ્ચે જ હોય એવું જરૂરી નથી, દુનિયાના કોઈ પણ સંબંધમાં અવ્યક્ત પ્રેમનુંઅસ્તિત્વ હોઈ શકે.મારી દ્રષ્ટિએ પ્રેમ એતો લાગણીઓનું વહેતુ ઝરણું છે. આપ્રેમના ઝરણામાં જો સામેની વ્યક્તિ ભીંજાય નહિ તો પ્રેમનું સાતત્ય અપૂર્ણ રહે છે. Any type of relationship is meaningless if you do not express your genuine emotions and feelings through your actions, gestures, and words. એટલે એનો મતલબ એવો નહિ કે જેને તમે પ્રેમ કરતા હોવ એનેતમારે સતત I love you કહેવું પડે. સામેનીવ્યક્તિ તરફનો પ્રેમ તમારા વાણી, વર્તન અને વ્યવહારમાં અભિવ્યક્ત થવો જોઈએ.સામેની વ્યક્તિને તમારા પ્રેમનો અહેસાસ થવો જોઈએ. ઘણીવાર અડોઅડ રહીને પણ બેવ્યક્તિઓ જળકમળ રહે છે અર્થાત પ્રેમની છાલકે ભીંજાતા નથી અને ઘણી વાર માઈલો દૂરથીબે વ્યક્તિઓ વચ્ચે પ્રેમની ઉષ્માનો અનુભવ થાય છે. પ્રેમને અભિવ્યક્ત કરવા માટે કારણ હોવું પણ જરૂરી નથી. અકારણ અભિવ્યક્તિનો આનંદજ અનેરો છે – આપણા માટે અને સામેની વ્યક્તિ માટે.
તો ચાલો, આજે જીવનના દરેક સંબંધમાં કારણ-અકારણ પ્રેમ અને લાગણીની અભિવ્યક્તિ કરવાનો નિર્ણય કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,
સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
હિરણ્યગર્ભનું વિજ્ઞાન શું છે?
સ્વરૂપ સંપટ
વર્ષોથી આપણે ઘરને આપણું વિશ્વ માનતાં આવ્યાં છીએ. પછી કોઇએ એવું કહ્યું કે એ પૂંછડિયા તારા (ધૂમકેતુ) જેવું હતું. હવે વૈજ્ઞાનિકોએ આપણને જાણ કરી છે કે આપણે એવી કોઇક વસ્તુમાં રહીએ છીએ જે બ્રહ્માંડીય ગોળાકાર જેવી લાગે છે. આ વિચિત્ર, વળાંકવાળી, સોનેરી-કથાઇ તસવીર છે. તેને કેટલાક ભૌતિકશાસ્ત્રીઓ એ રીતે વર્ણવે છે કે તેનો આકાર સૂર્યમંડળનો છે- વિશાળ ચુંબકીય ગોળો સૂર્યે રચ્યો છે, તેને અવકાશમાં અબજો કિલોમીટર સુધી સ્ટ્રેચ કરી શકાય છે. તે એકદમ ગોળાકાર નથી. એકધારું પણ નથી. તે તીક્ષ્ણ, ઇલેક્ટ્રિક, સતત સૌરપવનો અને તારાઓના દબાણ વચ્ચે આકાર બદલે છે. તેની મર્યાદા આપણી વચ્ચે છે અને એક અચોક્કસ અંધકારનું દબાણ રચાય છે.

આ વાંચતાં સ્મૃતિપટ પર એક શબ્દ ઊપસી આવે : હિરણ્યગર્ભ. ઋગ્વેદમાં ‘હિરણ્યગર્ભ સૂક્ત’ એક તેજસ્વી બ્રહ્માંડીય ગર્ભ વિશે જણાવે છે. તે બ્રહ્માંડમાંથી સર્જાયો છે. પૃથ્વી અને સ્વર્ગ જુદાં પડ્યાં હતાં, તે પહેલાં, જીવનની શરૂઆત થતાં પહેલાં એક સોનેરી, તેજસ્વી બીજ વિશાળતામાં તરતું હતું. તે એક સુંદર ચિત્ર છે. ન તો વિસ્ફોટ, ન ઘોંઘાટ, પણ ઉદર, ધારણ કરનાર. એક સુરક્ષાત્મક શરૂઆત. સૂર્યમંડળ સૌર પવનો-જે સૂર્યની બહારની તરફથી પોતાની સાથે લાવેલા અણુઓ દ્વારા બનેલ છે. તે તારાઓના પ્રવાહના માધ્યમથી તેની મર્યાદાઓ રચે છે. આ મર્યાદા એક ચોક્કસ પ્રકારનો ભાગ રચે છે, જે કોસ્મિક રેડિએશનનો હાનિકારક હિસ્સો છે. તેના વિના પૃથ્વી પર જીવન કદાચ અલગ જ હોત – લગભગ તમામનું. આપણે એક સોનેરી, સુરક્ષાત્મક પરપોટાની અંદર રહીએ છીએ.
વિજ્ઞાન પ્રતિદિન કંઇક ને કંઇક કહે છે. તે આપણા પૂર્વજોએ પ્રતીકાત્મક ભાષામાં જણાવેલું છે : જીવન માટે મર્યાદા જરૂરી છે. રચના માટે નિયંત્રણ જરૂર છે, ઊર્જા માટે ઉદરની જરૂર છે. વૈદિક દૃષ્ટાઓ પ્લાઝમાના પ્રવાહની ગણતરી અથવા ચુંબકીય ક્ષેત્રોનું મૂલ્યાંકન નથી કરતા, પરંતુ તેઓ તેની રચનાનું નિરીક્ષણ કરે છે. તેઓ માળખાંનો અનુભવ કરે છે. તેઓ સમજે છે કે અસ્તિત્વ સૂર્યમંડળ અને એવા સંબંધિતોમાંથી ઉદભવે છે. આધુનિક અવકાશશાસ્ત્રીઓ પ્લાઝમા ફિઝિક્સ અને સૌરપવનોની વાતો કરે છે. જ્યારે હિરણ્યગર્ભના વેદોમાં તેજસ્વી, સ્વ-અસ્તિત્વ ધરાવતા, પૃથ્વી અને સ્વર્ગની સાથે રહેલાની વાત જણાવી છે. શબ્દો અલગ, અર્થ સમાન. એવું કંઇક છે જે આની સમાંતર ઊંડાણમાં ફરે છે.
સદીઓથી આપણે સ્વીકારીએ છીએ કે પ્રાચીન બ્રહ્માંડ વિજ્ઞાનોએ તે સમજાવવાના પ્રથમ પ્રયત્નો કર્યા હતા. આપણે એ પુરાણશાસ્ત્રોને અભેરાઇએ ચડાવી દીધાં, પણ કદાચ તેમાંથી કેટલાક મતો સાવ અણઘડ નહોતા. તે આત્મચિંતન હતું. તે અસ્તિત્વના બંધારણમાં માનતા હતા. બ્રહ્માંડ એટલે બ્રહ્મનું ઇંડું. ભારતમાં આ મત અનોખો નથી. ઘણી સંસ્કૃતિઓમાં કલ્પના કરવામાં આવી છે કે બ્રહ્માંડ અંડાકાર છે, પરંતુ વૈદિક સ્વરીકરણ રેડિયન્સ પરના દબાણનું પાત્ર છે – હિરણ્ય એટલે સોનેરી. નહીં ઝાંખું, નહીં ઘેરું, પણ સોનેરી. પ્રકાશ સહિત જીવંત. બસ. અહીં જ સંશોધનો અનુસાર આપણું સૌરમંડળ એક વિશાળ, સૂર્યમંડળ પ્લાઝમા માળખાંનો આકાર તારા દ્વારા બનેલો છે. તેનું માળખું એટલે આપણા માટે પ્રકાશ છે. આપણે વિચારીએ છીએ કે અવકાશ ખાલી છે, પરંતુ તેમ નથી. તે સુગઠિત, ગતિશીલ અને સ્તરીય છે. તે એટલું ઝડપી છે કે સૂર્યના અંતથી પ્રભાવિત થાય છે અને આકાશગંગાની શરૂઆત થાય છે. આ ઝડપ આપણી સુરક્ષા કરે છે. તે બ્રહ્માંડના વાત વરણને વર્ણવે છે.
આપણે આજે જ્યારે હિરણ્યગર્ભ અંગે વાત કરીએ છીએ ત્યારે આપણે જબરદસ્તીથી સાહિત્યના પાનાં ઉથલાવવાની જરૂર નથી પડતી. તે વેદના ‘સંભવિત’ પ્લાઝમા ફિઝિક્સના પુરાવા રૂપ નથી. તે વિજ્ઞાન અને પુરાણો બંનેને એકસાથે પ્રસ્તુત કરે છે. તેના બદલે આપણે એમ કહી શકીએ કે માનવજાતે સૈકાંઓ પહેલાં એ અનુભવ કર્યો હતો કે સૂર્યમંળમાં જીવન અસ્તિત્વ ધરાવે છે. આપણે માત્ર અનંતની જ વાત નથી કરતાં. સૌરમંડળ કહે છે કે આપણે સૂર્યના ચુંબકીય પવન દ્વારા સુરક્ષિત છીએ. હિરણ્યગર્ભ કહે છે કે આપણે સોનેરી ઉદરમાંથી તેની જાતે ઉદભવેલું અસ્તિત્વ છીએ. કોઇ સમાનતાની વાત કરે છે. અન્ય લોકો મંત્રોમાં કહે છે. બંને એકસરખી ચોકસાઇની ચર્ચા કરે છે. રચના એ માત્ર ઘોંઘાટ નથી. તે ઊર્જાનું બંધારણ છે. તે જીવનની આસપાસનો પ્રકાશ છે. કદાચ એટલે જ આ ગોળાકાર પરપોટો મને વિચિત્ર રીતે આરામદાયક લાગે છે, કેમ કે બ્રહ્માંડમાં તે વિશાળ અને અલગ નહીં એવો લાગી શકે છે. તે ફરતો રહે છે તે જાણીને આપણે તેની અંદર ક્યાક જીવીએ છીએ. સુરક્ષિત-પ્રકાશિત રીતે. મારા ચહેરા પર સ્મિત તરવરતું હતું કેમ કે કેટલીક વાર આધુનિક વિજ્ઞાન પ્રાચીન શાણપણને બદલી શકતું નથી. તે પાછું ગોળ ફરે છે – અનપેક્ષિત, રમતિયાળ રીતે, જાણે કે કોઇ કોસ્મિક ટુકડો હોય જે આપણને યાદ કરાવે છે કે આપણે હજી એક સોનેરી ઇંડાની અંદર છીએ.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખિકા, ડૉ. સ્વરૂપ સંપટ,ની કોલમ ‘સ્વરૂપ Says ’ માં પ્રકાશિત લેખ
-
માલની મૂલ્યવૃદ્ધિ – ખેડૂતોની બને સમૃદ્ધિ !
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
ખેતીને લગતી કોઇ ચર્ચાસભા હોય કે હોય ખેડૂતો વચ્ચેની સંગોષ્ટિ, હોય કોઇ જાહેર મોટું ખેડૂત સંમેલન, કે હોય ભલેને કોઇ સામાજિક સંસ્થા દ્વારા ગોઠવાયેલ નાના-મોટા ખેડૂત મેળાવડા ! “ મૂલ્ય વૃધ્ધિ ” [વેલ્યુ એડીશન] શબ્દ વક્તાઓની વાતોમાં સંભળાતો રહે છે. આ મૂલ્ય્વૃધ્ધિ વળી કઇ બલા છે ભલા !
મિત્રો ! આપણ ખેડૂત ભાઇઓને જરા અજાણ્યા જણાતા આ શબ્દનો ભાવાર્થ સમજીએ તો જરાયે અજાણ્યો નહીં લાગે.” મૂલ્ય ” એટલે કોઇ જણસનું “મૂલ” કે “ભાવ”. અને “વૃધ્ધિ” એટલે કે વધારો. અર્થાત એની કિંમતમાં ઉમેરણ. માલની મૂળ કિંમતમાં વધારો કરવા માટે જે પ્રયત્નો કરવામાં આવે છે એને મૂલ્યવૃધ્ધિની પ્રક્રિયાઓ કે વસ્તુના રૂપાંતરણનાનામે ઓળખવામાં આવે છે.
આ કોઇ નવી વાત નથી. મૂલ્યવૃધ્ધિ કરવાનું કામ અન્ય ધંધાર્થીઓ કરતાં જ આવ્યા છે. અને આજેય કરી જ રહ્યા છે. તમે જૂઓ ! સુથારનો દીકરો ઘનફૂટના ભાવે પૈસા ખરચી લાકડું લાવે.એને રંધો મારી સોરણ કરે.કરવતીથી કટકા કરે. અરે ! કુહાડા કે વાંહલાથી ધારો સોરી ગોળાઇ પકડાવે. અને વિંધણા કે શારડીથી વિંધા પાડી , ખરીદી લાવેલ લાકડામાંથી છોડિયાં અને છોલ દ્વારા પાર વિનાની વજન ઘટ કર્યાં છતાં એની મૂળ કિંમતમાં પોતાની મજૂરીનું ઉમેરણ કર્યા પછી પણ તૈયાર કરેલ ફર્નીચરના એવા મૂલ ઉપજાવે કે એના છોકરાંના રોટલા એમાંથી નીકળે ! અરે ! દરજીની જ વાત કરોને ! પાંચ વાર કાપડ વેચાતું લાવી , કાતરથી વેતરતાં વેતરતાં ખૂણિયા-ત્રાંસિયામાં કેટલુક કપડું બિનુપયોગી ભલેને બની રહે, પણ એના પર સોય-દોરો ફેરવી એવો શૂટ બનાવે કે એની કાપડઘટ અને પોતાની મજુરી બાદ કર્યા પછી પણ નફારૂપે સારીએવી રકમ મેળવે.
આ બધા દરજી, સુથાર, સોની, મોચી જેવા ધંધાર્થીઓ બહારથી બીજા પાસેથી માલ ખરીદી, ગ્રાહકની જરૂરિયાતોને ધ્યાને લઇ, જરૂરી વસ્તુઓ બનાવી, કમાણી કરી શકતા હોય તો આપણે તો ખેડૂત છીએ- પાયાના માલને પકાવવા વાળા ! આપણો વ્યવસાય તો એક દાણામાંથી ૧૦૦-૨૦૦ કે ૫૦૦-૧૦૦૦ દાણા કરી બતાવનારો ખેતીનો છે. આપણને એમાંથી ઓછું વળતર મળતું હોય તો ખામી આપણી છે- ધંધાની નહીં !
પણ આજે તો પરિસ્થિતિ સાવ ઉલટી છે.આપણને ક્યારેય એવા સમાચાર છાપામાં વાંચવા મળ્યા છે કે સોની, મોચી, દરજી, સુથાર કે કોઇ તેલની મીલ કે કપાસના જીનવાળાના કુટુંબ માથે લેણું વધી જતાં આપઘાત કર્યો હોય ? હા, એવા સમાચાર તો નિત્ય વાંચવા મળે છે કે ‘ ફલાણા રાજ્યમાં કે જિલ્લામાં આટલા સેંકડોની સંખ્યામાં ખેડૂતોએ કરજનો ભાર વધી જતાં કરેલો આપઘાત !’ આ બાબત ખૂબ ગંભીર અને તેના કારણોના મૂળમાં લઇ જનારી ગણાય.
આવું માત્ર ખેડૂતના ભાગે જ કેમ ?
બીજા કોઇને નહીં અને આપઘાત કરવાનો વારો કેમ ખેડૂતને જ આવે છે ? અરે ! બીજા ધંધાર્થીઓ તો બહારથી વેચાતો કાચો માલ લાવી , તેના પર પ્રક્રિયાઓ કરી , ગ્રાહકની જરૂરિયાત મુજબનો બનાવી દોઢા-બમણા, અરે ! ક્યારેક તો દસગણા દામ મેળવી શકતા હોય તો આપણે તો પોતે જ કાચો માલ પેદા કરીએ છીએ. મગફળી અને તલ, સોયાબીન કે સૂરજમુખી, કપાસ આપણે પકાવીએ, ઘઉં,બાજરો,મકાઇ,ડાંગર આપણી વાડીઓમાં તૈયાર થાય , અરે,જાત જાતના શાકભાજી અને ભાત ભાતના ફળો ખેડૂતના બગીચામાં ઈચ્છિયે ત્યારે અને જોઇએ એટલા ઉતરતા હોય-તો એના એજ ઉત્પાદનોમાંથી આપણે જ કેમ તેલના ડબા ભરી ન શકીએ ? અરે ! કેરીના રસના પેકીંગ કે આમળાની કેંડી અને ચ્યવંપ્રાશના પેકીંગ તથા ફળ-શાકભાજીમાંથી બનતા સરબત,જામ,મુરબ્બ,અથાણા બનાવી મોં માગ્યા મૂલ આપણે કેમ ન મેળવી શકીએ ભલા !
જરૂર છે લક્ષ બદલવાની
આ માટે આપણે જરૂર છે આપણી રૂઢ પરિપાટી બદલવાની. અત્યાર સુધી આપણું લક્ષ માત્ર માલ ઉત્પાદન કરવાનું જ રહ્યું છે. ખેતર કે વાડીમાંથી ઉત્પાદન મેળવવા ધૂળ સાથે ધૂળ બની જઇએ, છોડવા કે ઝાડવાની ગોવાળી કરવામાં રાત કે દિવસ, અરે ! ટાઢ-તડકો કશુ ગણ્યા વિના, ખર્ચ કરવામાં પણ પાછુવાળી જોયા વિના, કહોને ચોકિયાબળદ જેટલું બળ કરીને ઉત્પાદન તો પ્રમાણમાં ઘણું મેળવી લઇએ છીએ. પણ એ જઉત્પાદનને એમને એમ વેચવાને બદલે ગ્રાહકની આંખને ગમે – અરે, એની જરૂરિયાત કેવા પ્રકારની છે તે જાણીને, તેના પર ઘટતી પ્રક્રિયાઓ કરી , તેને પહોંચતી કરીએ તો આપણને પણ મોં માગ્યા મૂલ મળી જ રહે ભલા ! પણ ખાટલે મોટી ખોટ કે પાયા જ ન મળે !આપણને એવું કરવાનો વિચાર સુધ્ધાં ન આવેને ! એવી નવરાય જ નથી ખરું ને ? આપણે તો બસ ! માલ તૈયાર થયો ન થયો –કરો ઘરભેળો ! અને બોલાવો વેપારીને,બોલો ભાવ ને તોળી લ્યો માલ. આપી દ્યો હિસાબ. અમેય છૂટ્ટા અને તમેયે છૂટ્ટા ! ઘરમાંથી આ માલ જાય તો ઘર થાય ખાલી, કપાસ નાખવા માટેય જગ્યા તો જોયશેને ? આવું આવું વિચારીએ છીએ.
બની જઇએ વેપારી
આપણે ખેડૂત તરીકે માલ ઉત્પન્ન કરીને સંતોષ માની લઇએ છીએ. પણ એજ માલનું જો વેપારી બની વેચાણ કરવાનું વિચારીએ એટલે કેમ કરીને એ માલના નાણાં વધારે મેળવવા એની યુક્તિ-પ્રયુક્તિ આપણા મગજમાં આવતી જ રહેવાની. સો વાતની એક વાત-એકવાર આપણે મનથી નક્કી કરવું પડે.પછી જોઇલ્યો મજા !
મૂલ્યવૃદ્ધિની રીતો :
[૧] ગ્રેડીંગ અને પેકીંગ
અનાજ હોય કે કઠોળ, ફળ હોય કે શાકભાજી, અરે ! ઇમારતી લાકડાનો હોય ભલેને મોટો ગંજ ! પણ ઝીણું-મોટું, કાચું-પાકું, જાડું-પાતળું, કુણું-ઘરડું કે સારું- સળેલ બધું જ ભેળું ભેળું- જાણે ઊંટ-બકરાંનું ભેગું ટોળું- એક જ ઢગલો કરી વેચવા કાઢ્યું હોય તો કોઇ વેપારી કે ગ્રાહક એવો નહીં હોય કે આપણા માલને સારું-મોળું ગણ્યા વિના :” ઉત્તમ માલ” તરીકે પરખ કરી આપણે કહીએ એવા નાણા ચૂકવે. અંદર સાવ નબળો માલ હોય માત્ર એકાદ ટકા જેટલો જ. અરે ! બહુ બહુ તો આઠ-બાર આની માલ હોય પાંચ ટકાથી પણ કમ. પણ એ તો આખા જથ્થાને “નબળો” કહીને સંબોધે અને સાવ નાખી દેવાના ભાવે માગે બોલો !
એટલે શાકભાજી હોય તો તેના રંગ અને કુણપ પ્રમાણે, ફળો હોય તો તેના કદ, રંગ. ચળકાટ અને પરિપક્વતા પ્રમાણે. દાણા હોય તો ઝીણા, મધ્યમ અને મોટા એવા વકલ પ્રમાણે વર્ગીકરણ કરેલ હોય અને અંદર કોઇ તૂટેલ-ફૂટેલ, સળેલકે કાચા ફળ-દાણા ન હોય એટલે પેકીંગ ખોલતાં જ આંખને ગમી જાય અને ગ્રાહક પ્રસન્નચિતે થોડા વધારે દામ આપી માલ ખરીદવા પ્રેરાય છે.
અને એવું જ, ખૂબ જ સારા ફળો કે શાકભાજી, અનાજ, કઠોળ, તેલીબિયા સામે નજર પડતાં જ આંખને ન ગમે તેવા ફાટલા-તૂટલા અને લઘર વઘર કોથળા, કંતાન કે સાદરા-ખોખામાં ભરેલા ભળાય એટલે “સારો માલ ” ખરીદનાર કોઇ વેપારી કે ગ્રાહક એની સામુ પણ જૂએ નહીં ! ક્યા ફળોને કેવા કેરેટ-પેટીઓમાં પેક કર્યા હોય કે કઇ શાકભાજીને કેવા સુતરાવ ચલાખામાં બાંધ્યા હોય કે ક્યા ધાન્યને પ્લાસ્ટિક થેલીઓ કે કંતાનની કોથળીઓમાં પેક કર્યા હોય તો ગ્રાહકની નજર એમાં નોંધાશે. એનો બરાબર અભ્યાસ કરી એવું જ પેકીંગ કરવું જોઇએ. શિયાળાની સિઝનમાં અમરેલીના માર્કેટયાર્ડમાં આણંદ વિસ્તારમાંથી ઝીણા-મોટા,કાચા-પાકા અને ડાઘા-ડૂઘી વાળા ભેળા ભેળા જ કોથળામોઢે આવતા આમળાની સરખામણીએ પંચવટીબાગના अ, ब, क એમ ત્રણ વકલના ૪૦ કિલોના વજન વાળી ઓર્ગેનિક આમળાની પેટીઓ-“ અંદરની ગુણવત્તાએક સમાન જ હોય ” એવા વેપારીને બંધાઇ ગયેલા વિશ્વાસ થકી કાયમખાતે સારા ભાવે વેચાય છે. એનું કારણ બસ મૂલ્યવૃધ્ધિની આ પ્રક્રિયા જ છે.
[૨] માલને લાંબો સમય ટકાવી રાખવો
મોટાભાગે એવું બનતું હોય છે કે જે તે પાકની સીઝનમાં માલનું ઉત્પાદન એકીસાથે જથ્થાબંધ રીતે તૈયાર થતું હોય તે ટાણે બજાર સાવ બેસી જતા હોય છે. પણ તેને જો થોડો સમય ટકાવી શકાય તો ભાવો તો પાછા સુધરી જતા હોય છે. એવે ટાણે કેટલાક કોલ્ડસ્ટોરેજમાં રાખી શકાય તેવા હોય તેને તેમાં અને કેટલાક કે જેને શિતાગારની જરૂરત ન હોય પણ માત્ર જીવાતો કે ઉંદર-ભેજથી રક્ષણ પુરું પાડીને થોડો સમય સંગ્રહી રાખ્યા હોય તો પાણીના મૂલે વેચવા પડતા નથી. જૂઓને ! બટેટા, સફરજન, સૂકામેવા અને મસાલા જેવા પાકોને શહેરની નજીક અને અંદર રહેનાર વેપારીઓ આવો લાભ લેતા જ હોય છે. ખેડૂતો પોતાની સહકારી સંસ્થા દ્વારા આવી સુવિધા ઊભી કરી શકે છે.
[૩] પેદાશ પર પ્રક્રિયાઓ કરવી
કેટલાક ફળો, ફૂલો, શાકભાજી, દૂધ જેવી પેદાશો લાંબો સમય ટકી શકતી નથી.એમાં અંદરથી જ ફૂગ લાગી જતાં બગડવાનું શરુ થઇ જતું હોય છે. એવી પેદાશોને તેના પર કેટલીક પ્રક્રિયાઓ કરી જુદી જુદી બનાવટો બનાવી દેવામાં આવે તો પછીથી ગમે ત્યારે ઓફ સિઝનમાં ઉપયોગમાં લઇ વધારે નાણા મેળવી શકાતા હોય છે. દા. ત. કેરી, આમળા, જામફળ, બટેટા, ટમેટા,ચીકુ, દ્રાક્ષ વગેરેમાંથી રસ, જામ, જીવન, કેંડી, ચીપ્સ, પતરી, વેફર, તેલ અથાણાં અને દૂધમાંથી દહીં,માખણ, ઘી, છાશ, પનીર, માવો, શીખંડ જેવી કૈંક ખાવા લાયક વસ્તુઓ બનાવી શકાય છે. અરે ! મગફળી, તલ, રાયડો, સૂરજમૂખી અને દિવેલા જેવા તૈલી પાકો અને રૂ-રેસાના કપાસ જેવા પાકો માટેતો મોટી મોટી તેલની મીલો અને કપાસના જીન વેપારીઓ દ્વારા જે ચાલી રહ્યા છે તેવા ખેડૂતો દ્વારા જો ચાલતા થાય તો ?
ઈતિહાસ પરથી ધડો લઇએ
કેટલીક મૂલ્યવૃધ્ધિની પ્રક્રિયા દરેક ખેડૂત માટે કરવી સંભવ નથી. એમાં જોયતું મોટું મૂડી રોકાણ અને સમય રોકાણ સહકારી ક્ષેત્રે ઊભું કરવું પડે તેમ છે. દુનિયાના તમામ અર્થકારણોમાં સહકારી પધ્ધતિ સર્વશ્રેષ્ઠ પૂરવાર થઇ છે. પરંતું એમાટે આપણે સૌએ સંકુચિત કુટુંબભાવનાની જગાએ સામૂહિક જીવનભાવના લાવવી જરૂરી થઇ પડે છે. આપણા સમાજમાં તે હોવાનું પરિણામ મિલ્કોદ્યોગક્ષેત્રે શ્વેતક્રાંતિ છે. અને તે નહીં હોવાનું પરિણામ સૌરાષ્ટ્રમાં તે વિશ્વક્ષેત્રે સમૃધ્ધિનું દ્વાર ખોલી આપનાર ઉદ્દાત ગ્રોફેડની નિષ્ફળતામાં જણાયું છે.
મુરગી રોજ એકેક ઇંડું આપતી હતી. તે બધા એકસાથે મેળવી લેવા જે મૂરખે મૂરગીનું પેટ ચિર્યું, તેના પર આપણે ખેડૂતોએ હસવું નહીં. કારણ કે એ ચિરનારા આપણે જ હતા.અને એની ભાગીદારીમાં ગ્રોફેડના કર્મચારીઓ હતા. મગફળીના ઉતારા અને વજનમાં ગોલમાલ કરી ગ્રોફેડ દ્વારા ખેડૂતોને સમૃધ્ધ કરવાનું વર્ગિસ કુરિયનનું સ્વપ્નું આપણે તોડી નાખેલું.
હવે ફરી એવા જ કુરિયન સનત મહેતાના રૂપે આપણને મળ્યા છે. કે જેઓ એ વિશ્વમાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ડંકો વગાડનાર ગુજરાતને કપાસના રૂપે નહીં પણ રૂ ની ગાંસડીઓના પ્રમુખ નિર્યાત કરનાર કંપનીના રૂપે ઘડવાનું બીડું ઉઠાવ્યું છે. પરંતુ સહકાર કોઇ એક વ્યક્તિના સ્વપ્ને નહીં, સૌની સહભાગિતાથી સફળ થાય છે. આગળ કહી તેવી અનેક પાકોની મૂલ્યવૃધ્ધિ માટે આપણી સામે કેવામોટા પુરુષાર્થનો પડકાર છે એ સમજણ આજે હવે શિક્ષિત બની રહેલા ખેડૂતોને શું આપવી પડે તેમ છે ?
છોગું ચડી જાય તો તો
મિત્રો ! ખેતર કે વાડીમાં ઉત્પન્ન થતી તમામ પેદાશોને જો લાંબો સમય સારી સ્થિતિમાં ટકી શકે તેવી તેની અંદરની જ તાકાત વધી જાય તેવું ગોઠવવું હોય, અરે ! પેદાશો પર પ્રક્રિયાઓ થયા પછી એની સોડમ અને મીઠાશનો કુદરતી સ્વાદ માણવો હોય, અને એના ઉપયોગ પછી બિમારીઓ દૂર રહે તેવું ગોઠવવું હોય તો આપણે ખેડૂતોએ બે-ત્રણ બાબતો ડાબા કાળજે લખી રાખવી જોયશે.
[૧] ફળ, શાકભાજી, અનાજ, કઠોળ, તૈલીપાક સુધ્ધાંમાં ઈચ્છિત કદ, આકાર, રંગ અને પૌષ્ટિકતાની દ્રષ્ટિએ ઉત્તમ હોય તેવી જ જાતના બીજના ઉપયોગથી મોલાતનું વર્ધન કરવું.
[૨] વાડીની મોલાતને બને ત્યાં સુધી રા.ખાતરોથી પોષણ પુરું પાડવાને બદલે સે.ખાતરોનો જ સહારો લેવો. અને એ માટે ગોપાલનને સાથી વ્યવસાય બનાવવો.
[૩] પાક પરના રોગ-જીવાતના હુમલા વખતે ઝેરી પેસ્ટીસાઇડ્ઝનો ઉપયોગ બંધ રાખી કુદરતી અને હર્બલ ઉપચારોથી મોલાતનું રક્ષણ કરવું.
આજે મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઇ જેવામાં સજીવ ખેતીથી પકવેલ બધી જ ખાદ્યચીજોને ચાલુ ખેતી પધ્ધતિથી તૈયાર કરેલ ખાદ્યચીજોની સરખામણીએ વધારે નાણા ખર્ચીને પણ પોતાના આરોગ્યની ખેવના કરનારા વપરાશકારો છે. વળી ગેટ- WTO ના અમલ પછી દરેક ચીજ મુક્ત બજારમાં સ્પર્ધાનાત્મક બની છે ત્યારે વિશ્વબજારમાં ટકી રહેવા અને ઈચ્છિત ભાવો મેળવવા જે તે ચીજ વસ્તુની ગુણવત્તા અને અંદરના ઝેરની નોર્મલ ટકાવારી હોય તો જ આંતર રાષ્ટ્રિય હરિફાઇમાં ટકી શકાય. તથા ચીલાચાલુ માલને બદલે તેના નિયત થયેલા ધારા ધોરણો સાચવી નિકાસ પણ કરી શકાય અને દેશને હુંડિયામણ રળી અપાય. આ બધા પાછળનું મૂખ્ય ધ્યેય આપણને આપણા ઉત્પાદનના સારા ભાવ મળી રહે એ હાંસલ થઇ જાય મિત્રો !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
-
બેઠા હોઈએ એ ડાળીને કાપનારને શું કહેવાય?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
કવિ કાલીદાસ બાબતે એવી એક વાયકા છે કે તેઓ શરૂઆતના કાળમાં એવા અભણ અને મૂર્ખ હતા કે વૃક્ષની જે ડાળ પર તેઓ બેઠેલા એ જ ડાળને કાપી રહ્યા હતા. જો કે, આગળ જતાં તેઓ એવા વિદ્વાન બન્યા કે સંસ્કૃતના ઊત્તમ કવિમાં ગણના પામ્યા. વૃક્ષની જે ડાળી પર બેઠા હોઈએ એ જ ડાળીને કાપવાનું લક્ષણ મૂર્ખતાની ચરમસીમા ગણાય છે. અને માનવજાત ‘વિકસીત’ બન્યા પછી આમ જ કરતી આવી છે, છતાં તે પોતાની જાતને મહાજ્ઞાની ગણાવે છે. પૃથ્વી પરના બધા સ્રોતનો ખંગ વાળી દીધા પછી, આકાશ, જમીન અને પાણીને પ્રદૂષિત કરી દીધા પછી અને પોતાના સિવાયના અન્ય જીવોના જીવવાનો હક છીનવી લીધા પછી પણ આપણે આધુનિક, શાણા, બુદ્ધિમાન ગણાતા હોઈએ તો મૂર્ખામીની ચરમસીમા ખરેખર તો આ છે.
ફેબ્રુઆરી, ૨૦૨૬માં દક્ષિણ આફ્રિકાના વન, મત્સ્યોદ્યોગ અને પર્યાવરણ મંત્રી વીલી ઓકેમ્પે સરકારી ગેઝેટમાં એક કાનૂની નોટિસ પ્રકાશિત કરીને વર્ષ ૨૦૨૬ અને ૨૦૨૭ માટેના હાથી, કાળા ગેંડા અને દીપડાના માનવ દ્વારા કરાતા શિકારનો ક્વોટા જાહેર કર્યો. એ મુજબ પ્રતિ વર્ષ દોઢસો હાથીઓ, બાર કાળા ગેંડા અને અગિયાર દીપડાનો શિકાર કરી શકાશે, અને આ સંખ્યા આ બે વર્ષ પૂરતી અમલી રહેશે. આ બાબતે કોઈનો વાંધાવિરોધ હોય તો એની રજૂઆત માટે ત્રીસ દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે.
આ નોટિસ દ્વારા એવો સંકેત આપવામાં આવ્યો હતો કે વન્ય જીવોમાંના ‘બીગ ફાઈવ’ પૈકીના આ ત્રણ સભ્યોના શિકારની રમત પુન: આરંભાશે. અગાઉ આ પરમીટ આપવાનો ‘હ્યુમન સોસાયટી ઈન્ટરનેશનલ’ (એચ.આઈ.એસ.)/આફ્રિકા’ દ્વારા એ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો કે આ બાબતે યોગ્ય પ્રક્રિયાનું પાલન થઈ રહ્યું નથી.
સ્વાભાવિકપણે જ આ કાનૂની નોટિસે વિજ્ઞાનીઓ, સંરક્ષણ સંસ્થાઓ, શિકારીઓ, અને સ્થાનિકો તરફથી પ્રતિક્રિયાઓ મળી રહી છે. કેમ કે, આ એક જ બાબત એવી છે કે જે સ્થાનિકો તેમજ વન્ય જીવોના સંરક્ષણ માટે કાર્યરત વૈશ્વિક સંસ્થાઓને વિભાજીત કરે છે. વન્ય પશુઓનો શિકાર કરવાનું આ કૃત્ય ‘ટ્રોફી હન્ટિંગ’ જેવા રૂપાળા નામે ઓળખાય છે. વન્ય જીવોના હક માટે બનેલા સમુદાયો દક્ષિણ આફ્રિકા સહિત બીજા અનેક દેશોમાં પ્રચલિત આ ક્રૂર પ્રથાનો વિરોધ કરતા આવ્યા છે, કેમ કે, તેનાથી પ્રાણીઓ માનસિક હેરાનગતિ અનુભવે છે. બીજી તરફ આ પ્રથાના તરફદારો આ બાબતને જાળવણી, આવાસ સુરક્ષા તેમજ શિકારવિરોધી પ્રયાસોને મદદરૂપ હોવાનું ગણાવે છે.

Photo for representation.Oleg Elagin (okyela) via iStock
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીવન્યજીવ સુરક્ષાના આંતરરાષ્ટ્રીય કાનૂન અનુસાર શિકારીઓ પોતે કરેલા શિકારને પોતાની સાથે પોતાના દેશમાં ન લઈ જઈ શકે. દક્ષિણ આફ્રિકાના કિસ્સામાં એવું બન્યું કે ત્યાં શિકારના નિકાસની પરમીટને સ્થગિત કરવામાં આવી તો શિકારીઓ પાડોશી દેશોમાં સ્થળાંતરિત થઈ ગયા અને તેને કારણે દક્ષિણ આફ્રિકાના ત્રણસો કરોડ અમેરિકન ડોલર ધરાવતા ઉદ્યોગને સંભવિત આવકમાં જંગી નુકસાન ભોગવવું પડ્યું. શિકારની નિકાસ પરમીટ પ્રતિબંધિત થઈ એ અગાઉ દક્ષિણ આફ્રિકા શિકારની નિકાસમાં વિશ્વભરમાં દ્વિતીય ક્રમે હતો. પ્રથમ ક્રમે તેનો પાડોશી દેશ નામીબિયા હતો.
હવે આ નોટિસની ઘોષણા પછી શિકારતરફી અને શિકારવિરોધી લોકો પોતપોતાના સમુદાયોને એકત્ર કરી રહ્યા છે.
એ હકીકત છે કે દક્ષિણ આફ્રિકામાં કાર્યરત વન્ય જીવોના સંરક્ષણ માટેના સમુદાયો માટે ‘ટ્રોફી હન્ટિંગ’ કાયમી ચર્ચાસ્પદ મુદ્દો બની રહ્યો છે. હાથી, સિંહ, ચિત્તા અને ગેંડાના સુનિયંત્રીત (કુદરતી નહીં, પણ માનવસર્જિત વાતાવરણમાં) સંવર્ધન અને શિકારની પ્રથાનો અંત લાવવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાની નીતિઓ, કાનૂન તથા પ્રથાઓની સમીક્ષા માટે રચાયેલી એક ઉચ્ચ કક્ષાની પેનલ દ્વારા કરાયેલી ભલામણના પગલે આમ કરવામાં આવ્યું હતું. ‘એચ.આઈ.એસ./આફ્રિકા’ દ્વારા પર્યાવરણ મંત્રીએ જાહેર કરેલા ક્વોટાને એમ કહીને પડકાર્યો છે કે એના માટે કોઈ કાનૂની પરામર્શ કરવામાં આવ્યો નથી. અદાલતે ‘એચ.આઈ.એસ.’ દ્વારા કરાયેલી અરજીના પગલે વર્ષ ૨૦૨૨થી નિકાસ પરમીટને સ્થગિત કરી દીધી છે. આથી છેલ્લા પાંચેક વર્ષથી શિકારતરફી અને શિકારવિરોધી સમુદાયો તરફથી બરાબર ખેંચતાણ ચાલી રહી છે. હવે તો આ મુદ્દાએ રાજકીય વળાંક લીધો છે.
ત્રીસ દિવસના સમયગાળા પછી જે સમુદાય ‘વિજયી’ બને એ ખરો, પણ વન્ય જીવોના સંરક્ષણ મામલે કેવા ખેલ ચાલતા રહ્યા છે એ જોવા જેવું છે. વન્ય પશુઓનો શિકાર એક ઉદ્યોગ તરીકે ઊભરે અને રાષ્ટ્રની આવકનો મુખ્ય સ્રોત બને ત્યારે સમજાય છે કે જે તે દેશના રાજકારણીઓ જેટલા જ નિષ્ઠુર, લોભી અને લાલચુ આ ‘માલ’ને ખરીદનારા, તેમાંથી બનતી ચીજોનો ઊપભોગ કરનારાઓ પણ છે. આ દેશના રાજકારણીઓ તો દુનિયાભરના લોકોના લોભ અને લાલચને પાળીપોષી રહ્યા છે એટલું જ. બાકી આ પ્રાણીઓના ભક્ષણ કે એમાંથી બનતી અવનવી વૈભવી ચીજો વિના માનવજીવન ક્યાં અટકી પડે છે! પહેલાં વિવિધ પ્રજાતિઓનો ખાત્મો બોલાવવો, એનું અસ્તિત્વ જોખમમાં આવી પડે એટલે એના સંવર્ધન માટે પ્રયાસો કરવા અને એના નામે કોઈ એક ચોક્કસ દિવસ ફાળવીને તેની ઊજવણીના તાયફા કરવા એ હવે બહુ જાણીતી પ્રથા બની રહી છે. આ રીતે નૈસર્ગિક સંતુલનને આપણે એ હદે ખોરવી નાખ્યું છે કે એ નુકસાન ભરપાઈ થઈ શકે એમ નથી. આમ છતાં, એમાંથી કશો બોધપાઠ લેવાને બદલે હજી આપણી આંધળી દોટ ચાલુ જ રહી છે. આપણને ખબર છે કે આપણે વૃક્ષની જે ડાળી પર બેઠા છીએ તેને જ કાપી રહ્યા છીએ અને આપણું પતન નક્કી જ છે. આવી જાણ હોવા છતાં નિરંતરપણે ડાળી કાપતા રહેવાનું કૃત્ય કરતા રહેવું એને શું કહીશું? ‘મહામૂર્ખતા’ શબ્દ ઓછો પડે!
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨-૩– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
ગયાના – નદીઓ અને જંગલોનો દેશ : ૧૪
પ્રીતિ શાહ-સેનગુપ્તા
જિયોના વિમાનમથકે પહોંચીને, ફોન કરીને ત્રણ ટૅક્સીઓ બોલાવી લીધી, અને અમે હોટેલ પર પાછાં ફર્યાં. રાતનું જમવાનું ત્યાં જ બનાવવાનું કહ્યું, કે જેથી ફરીથી બહાર નીકળવું ના પડે. જોકે, અહીંનું લાક્શણિક કહેવાય એવું, મેંદાની જાડી લોચા-પુરી અને મોટા ચણાના શાકનું ભોજન બધાંને બહુ ભાવતું નથી!
બીજી પણ એક ટૂર પ્લાન કરવાનું મને કહેવામાં આવેલું, અને મેં એ વિષે બધી જાણકારી મેળવી લીધેલી. સ્વામીજીએ એક ત્રિવેણી-સંગમનો ઉલ્લેખ કરેલો, તેથી ત્યાં જવા માટે કેટલાંકને થોડો રસ હતો. દેશનો નકશો ખોલીને મેં એ જગ્યા બતાવી. વૅન ભાડે કરીને સવા કલાકે પારિકા જવાનું, ત્યાંથી મોટરબોટ લઈને સવા કલાક ઍસૅકીબોમાં જવાનું, ને ત્યારે બાર્તિકા નામના ગામે પહોંચાય.
ત્યાંથી વળી બોટ લઈને આગળ જવું પડે, કે જ્યાં ઍસૅકીબોની સાથે માઝારુની અને કાયુની નદીઓ ભળે છે. જળસમુહ ત્યાં સાગર જેવો બને છે. પાણી ઉછાળા પણ સાગરનાં મોજાંની જેમ જ મારે છે. બોટ આખો વખત ડામાડોળ રહે છે.
વળી, ઍસૅકીબોનું પાણી પણ નદીનું હોય તેવું શાંત નથી હોતું. ઍટલાન્ટીક સમુદ્રમાં આવતી ભરતી, ધક્કા મારીને આ નદીમાં ઘુસે છે, અને સવારે અગિયાર પછી આખો દિવસ પાણી ખૂબ ચંચળ થઈ જાય છે. આનો અર્થ એ, કે બાર્તિકાથી જિયો પાછાં ફરતી વખતે અમારે આ પરિસ્થિતિ ભોગવવાની આવે. વળી, અમે બે વાર ઍસૅકીબોને એકથી બીજે તીરે પાર કરેલી, તેથી એના પાણીની પર્સનાલિટીનો થોડો ખ્યાલ બધાંને હતો.
જવા અંગેની આવી બધી અઘરી, ને તકલીફવાળી વિગતો જાણ્યા પછી જૂથનાં બધાંએ સંગમ તરફ જવાનું માંડી વાળ્યું. અને ખરેખર ત્યાં ત્રિવેણી-સંગમ છે જ નહીં. કાયુની તો થોડે ક્યાંક આગળ માઝારુનીમાં ભળી જાય છે. પછી એ બાર્તિકાની નજીકમાં ઍસૅકીબોના વિશાળ પ્રસ્તારમાં સમાય છે. આમ તો પાણી જ પાણી, પણ જે હિન્દુ કલ્પન આપણા મનમાં હોય છે, એવું કશું નહીં.
મને બાર્તિકા શહેર જોવું ગમ્યું હોત. એની નજીકના પ્રદેશમાં આવેલી હીરા અને સોનાની ખાણોને કારણે એ ઔદ્યોગિક તેમજ સાંસ્કૃતિક વિકાસ પામ્યું છે. પણ કાંઈ નહીં. બધે જવાય પણ નહીં, અને હજી જિયો શહેર જોવાનું પણ બાકી હતું.
મને રોજ મનમાં થતું હતું, કે ક્યારે જોવા પામીશ જિયોને. વૅનમાં ને ટૅક્સીમાં જતાં-આવતાં થોડું તો જોયું હતું, પણ એનો કેન્દ્ર ભાગ તો બાકી જ હતો. મને ચાલીને ફરવું વધારે ગમે, પણ જૂથનાં કોઈને ચાલવામાં રસ નહતો. વળી, તડકો સવારથી જ સખત હોય, અને ગરમી પણ ઘણી.
જૂથમાં અમે નવ જણ હતાં, તેથી એક વૅન લેવી સારી પડે. પણ એનું ભાડું કુલ ત્રણસો અમેરીકન ડૉલર કહ્યું. જો ત્રણ ટૅક્સી ભાડે કરીએ, તો કુલ નેવું ડૉલર થતા હતા. પછી એમ જ કરવાનું હોય ને.
ત્રણેય ડ્રાયવર ત્રીજી પેઢીના યુવાન ગયાનીઝ ઇન્ડિયન હતા. શતુર્ગન ધનરાજ એટલેકે રાજ, દેવેન્દ્ર એટલેકે દેવ, અને રાહીમ. ત્રણેય બહુ સારા હતા, શાંત અને વિવેકી, અને દરેકનું મોઢું હસતું. ત્રણેય રંગે ઘેરા, પણ દેવ સૌથી વધારે કાળો હતો. એ તડકામાં એક મિનિટ પણ રહી શકતો નહતો, ને ટૅક્સીની બહાર નીકળ્યો જ નહીં.
સૌથી પહેલાં અમે મોન્યુમૅન્ટ ગાર્ડન નામની જગ્યાએ ગયાં. એ ગયા જ વર્ષે સ્થપાયેલી, એટલી નવી જગ્યા હતી, કે હજી એ નકશામાં પણ નહતી મૂકાઈ. એક ઐતિહાસિક બિનાના સ્મરણમાં એ બનાવાઈ છે. ઇંગ્લંડ દ્વારા ગુલામી નાબૂદ થઈ તે પછી ઇન્ડિયાથી મજૂરોને લાવવાનું શરૂ થયું. મુખ્યત્વે બિહાર ને ઉત્તર પ્રદેશમાંથી લોકોને લવાયા. ગયાનાનાં ઇન્ડિયનોમાં આજે પણ મુખ્ય ભાષાઓ ભોજપુરી અને અવધી રહી છે.
૧૮૩૮માં ‘વ્હિટબી’ નામનું એક વહાણ સૌથી પહેલાં ગયાનાના કાંઠે પહોંચ્યું. એમાં ૨૪૯ ઇન્ડિયનો હતાં. આ પછી, ૧૯૧૭ સુધીમાં, પાંચસોથી પણ વધારે વહાણો દ્વારા, ૨૩૮,૯૦૯ જેટલાં ઇન્ડિયન મજૂરો, જેમને કુલી કહેવાનો ધારો હતો, ગયાનામાં આવ્યાં હતાં. એમાંથી ૭૫,૮૯૮ જણ પાછાં ઇન્ડિયા ગયાં હતાં, અને કેટલાંક જણ આવ્યા પછી થોડા જ વખતમાં મરણ પણ પામ્યાં હતાં. આ બધાંમાં મુખ્ય સંખ્યા પુરુષોની રહેતી. સ્ત્રીઓ ખૂબ ઓછી હતી, અને થોડાં બાળકો હતાં.
આ મૂળ ઇન્ડિયન વસ્તીના પ્રથમ આગમનનો ઐતિહાસિક સંદર્ભ હવે, કરીબિયન તેમજ અન્ય ટાપુઓ પર પણ, અગત્ય પામી રહ્યો છે. ગયાનાના જ્યૉર્જ ટાઉનના કેન્દ્રની પાસેના ભાગમાં, સરકારે આ નાનકડી જગ્યા ફાળવી છે. ઇન્ડિયન કમ્યુનિટીએ બહુ કાળજીપૂર્વક અહીં આ સુંદર મોન્યુમૅન્ટ ગાર્ડન બનાવ્યો છે.
વચ્ચોવચ ગુલમહોરનું એક ઘેઘૂર વૃક્શ ખૂબ આવશ્યક અને આવકારક એવો છાંયડો પાથરે છે. એની નીચે જતાં જ હાશ થાય છે. એક તરફ, લંબચોરસ હૉજ જેવું, નાનું જળાગાર છે. એમાં લાંબી, સીધી ટટ્ટાર અને મજબૂત દાંડીવાળાં ગુલાબી કમળ ખીલેલાં છે. આખરે આ કમળનો ફોટો લેવા હું પામી. એ પણ એક હાશ. બધે જ છોડ-ઝાડ પર અનેક ફૂલ ખીલેલાં છે. ચંપાનાં ઝાડ તો પ્રફુલ્લિત ફૂલોથી ભરેલાં છે.
લાંબા આ કમ્પાઉન્ડના પાછલા છેડા પર એક સ્ટેજ બાંધવામાં આવ્યું છે. એનો વપરાશ ઇન્ડિયન સાંસ્કૃતિક કાર્યક્રમોને માટે કરવાનો ઉદ્દેશ છે. બેએક અઠવાડિયાં પછી ત્યાં રામ-લીલા રજૂ થવાની હતી. અને દશેરા નિમિત્તે રાવણ-દહન પણ થવાનું હતું. અરે, આ વિષે જાણ થઈ, એટલે રજુઆત નહીં જોયાનો જીવ બળવાનો.
આ ગાર્ડનના ગેટમાં થઈને અંદર જતાંની સાથે, સૌથી પહેલાં, નજરે ચઢે છે એક વહાણની અત્યંત સુંદર પ્રતિકૃતિ. આ એ જ પ્રથમ વહાણ ‘વ્હિટબી’ મૂકાયેલું છે. લોખંડ અને કાંસા જેવી ધાતુઓથી બનેલું આ શિલ્પ તૈયાર કરવામાં આવ્યંુ છે ઇન્ડિયામાં. અહીં, સામે જ, એક ઊંચી વેદી કરીને એને ગોઠવવામાં આવ્યું છે. બધા ખુલ્લા શઢવાળો એનો આકાર સપ્રમાણ છે, એનું સ્વરૂપ આકર્ષક છે. ઇન્ડિયનોના પ્રથમ આગમનનું આ ઇષત્ સન્માન છે.

‘વ્હિટબી’ વહાણનું શિલ્પ
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીગાર્ડનની સાચવણી અને સાફસૂફને માટે રાખેલા, કાલીચરન નામના એક વૃદ્ધ ઇન્ડિયન કહે, મારા દાદા આ જ ‘વ્હિટબી’ વહાણમાં અહીં આવેલા. અગત્યના બનેલા ઇતિહાસના વારસ હોવાનો એને ગર્વ હતો.
ક્રમશઃ
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
