-
નિવેદિત અસ્તિત્વ : ભગિની નિવેદિતા [૧]
દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
કેટલીક વ્યક્તિઓ પોતાના જીવનમાં એક પ્રકારની ઝીણી વેદના લઈને જ જન્મતી હોય છે. જેમ જેમ એની સમજ વિકસતી જાય છે તેમ તેમ એમની વેદના પણ વધતી જ રહે છે. આ વેદના હોય છે દિશાની શોધ માટેની. એની તીવ્રતા વધતાં અચાનક જ ઘટતી કોઈ ઘટનાને આપણે સૌ 1૫10109 ?ભાં01 – વળાંક – એવું નામ આપતાં હોઈએ છીએ. બહુ ઓછા લોકોને જીવનમાં આ પ્રકારનું વળાંકબિન્દુ આવવાનું સદ્ભાગ્ય સાંપડતું હોય છે.
મહાન થવા સર્જાયેલી વ્યક્તિઓના જીવનમાં આ પ્રકારનો વળાંક ત્રણેક રીતે આવતો હોય છે : કેટલીક વાર કોઈ બનાવ કે ઘટના વ્યક્તિ પર જાણે છાપો મારે છે અને વ્યક્તિ તત્ક્ષણ પરિવર્તન પામે છે. ઇતિહાસની મદદ લઈને કહીએ તો મહાકવિ વાલ્મીકિનું દૃષ્ટાંત આ પ્રકારનું છે. વાલ્મીકિના જીવનમાં આવેલી જાગૃતિની એક પળ તેમને અસદ્માંથી સદ્માં, ક્ષણમાત્રમાં લઈ ગઈ ને તેમનું રૂપાંતર થઈ ગયું ! નરસિંહ મહેતા, સિદ્ધાર્થ જેવાનું જીવન પણ આ પ્રકારના ઉદાહરણ તરીકે ટાંકી શકાય. બીજી રીતનું વળાંકબિંદુ મનુષ્યના જીવનમાં ક્રમિક રીતે આવતું હોય છે. જીવન પાસેથી આ પ્રકારની વ્યક્તિઓ સતત શીખતી રહે છે ને બદલાતી – ઘડાતી – વિકસતી રહે છે. મહાત્મા ગાંધી આ પ્રકારનું, આ યુગનું સૌથી મોટું દૃષ્ટાંત બની રહ્યા છે. વળાંકની ત્રીજી રીતમાં કેટલાક લોકો ઝીણી વેદનાને પોતાના ચેતનાગર્ભમાં ઉછેરતા રહીને વિસ્ફોટની ક્ષણની રાહ જોતાં રહે છે ને અચાનક એ વિસ્ફોટ થતો હોય છે. આ પ્રકારના વિસ્ફોટની કોઈ નિશ્ચિત ઉંમર, ક્ષણ હોતી નથી પણ એ થઈને રહે છે એટલું તો ચોક્કસ. એ પણ કહેવું જોઈએ કે આ ત્રણેય પ્રકારના લોકોમાં કશુંક એવું તત્ત્વ પડેલું હોય છે જે તેમને વખત આવ્યે ઉશ્કેરે છે . આવા જ લોકોનું રૂપાંતરણ શક્ય છે; બધા લોકોમાં તો સ્વાભાવિક રીતે જ, ચેતનાની ધાર આટલી તીત્ર ન જ હોઈ શકે એ પણ સમજાય તેવી વાત છે.
જાગૃતિની આ ક્ષણ સત્યની શોધ માટે પ્રગટતી હોય છે. આ ક્ષણ જેના જીવનમાં આવે છે તેવી વ્યક્તિ જીવનના બીજા કોઈ ક્ષેત્રને બદલે અધ્યાત્મના ક્ષેત્રથી આકર્ષાતી હોય છે. એનું એક કારણ એ છે કે અધ્યાત્મ જીવનનાં બધાં જ ક્ષેત્રોને આવરી લેતું તત્ત્વ છે. એ તત્ત્વમાં ઊંડા ઊતરવાથી બાકીનું બધું સહેજે સમજાય છે ને ઝડપથી સધાય પણ છે. આધ્યાત્મિક અતૃપ્તિથી પીડાતા લોકોની માંગ જુદા જ પ્રકારની હોય છે. એ ઝડપથી સંતોષાતી પણ નથી હોતી. કેટલીક વાર તો એનો ઉકેલ મળ્યા પાછી પણ એનાં મૂળ સૂધી પહોંચતાં સમય લાગતો હોય છે.
હિન્દુ ઘર્મ અને એના કરતાંયે કહેવું હોય તો એના ધારકોએ ઘણા લોકોની આધ્યાત્મિક તૃષા છિપાવવાનો યત્ન કર્યો છે. જેમાં કેટલાંક પરદેશી વ્યક્તિત્વોનો સમાવેશ થાય છે. આ વ્યક્તિત્વોમાં ત્રણ મહિલા વ્યક્તિત્વો ખાસ ધ્યાનપાત્ર છે જેમાં ક્રમની દષ્ટિએ પ્રથમ આયર્લેન્ડનાં વતની માર્ગરેટ નોબલ, મીરાં આલ્ફાસ્સા ને મેડેલીન સ્લેડ, જેઓ પાછળથી અનુક્રમે ભગિની નિવેદિતા, શ્રી માતાજી ને મીરાંબઢેન તરીકે ભારતીય અધ્યાત્મ દ્વારા દીક્ષિત બનીને ભારતીય ચેતનામાં એક બન્યાં. આમાંથી શ્રી માતાજી ને મીરાંબહેન વિશે આગળ જતાં અલગથી વિગતે વાત કરેલ છે. આ ત્રણેયની વૈચારિક અવસ્થા પોતપોતાની રીતે ભિન્ન છે છતાં મહદ અંશે મળતી આવે છે. સત્યની, કહો કે દિશાની શોધ, એ ત્રણેયનું ધ્યેય છે જે ભારતના આધ્યાત્મિક મહાપુરુષો દ્વારા તેઓને સાંપડે છે.
“નિવેદિતા’ બનેલાં માર્ગરેટ નોબલ ગળથૂથીમાંથી જ ધર્મપરાયણ છે. તેમના દાદા જોન નોબેલ પાદરી હતા. મૂળે સ્કૉટિશ એવું આ નોબલ કુટુંબ લગભગ પાંચસો વર્ષથી આયર્લેન્ડમાં આવીને વસેલું. આયર્લેન્ડની પ્રજાને અંગ્રેજોના કઠોર અનુશાસનમાં રહેવું પડેલું પરિણામે માર્ગરેટના પિતા અને દાદાને કઠોર જીવન જીવવાનું આવેલું. જોન નોબલે તો સ્વતંત્રતાની ચળવળમાં ભાગ પણ લીધેલો.ઉત્તર આયર્લેન્ડમાં વેસ્લિયન ચર્ચમાં પુરોહિત તરીકે રહેલા જોન નૉબલનું ચોથું સંતાન તે સેમ્યુઅલ રિચમન્ડ. તેમણે પણ પિતાના સંસ્કારો ગ્રહણ કરીને ધર્મ પ્રત્યે અભિરુચિ કેળવી. સેમ્યુઅલે મેરી ઈજાબેલ હેમિલ્ટન સાથે લગ્ન કરીને ઉત્તર આયલેન્ડમાં ડંગન્નોનમાં નિવાસ કર્યો. ડંગન્નોનમાં જ ઈ.સ. ૧૮૬૭ની ૨૮ ઓક્ટોબરે આ દંપતીને ઘેર પ્રથમ સંતાન તરીકે માર્ગારેટનો જન્મ. તેમના જન્મ પહેલાં તેમનાં માતાની સ્થિતિ નાજુક થઈ ગયેલી. પોતાનું પ્રથમ બાળક બરોબર જન્મે તે માટે માતાએ પ્રભુની પ્રાર્થના કરતાં કહેલું કે જો આ બાળક હેમખેમ જન્મશે તો હું એ તને અર્પણ કરીશ. આમ, જન્મ પહેલાંનું જ માર્ગરેટનું આ પ્રથમ નિવેદન હતું. જન્મ પહેલાં જ એ “નિવેદિતા’ થઈ ગયાં. આ અર્થમાં જોઈએ તો માતા – પિતાને ઘેર જન્મ લેવા છતાં તેઓ દત્તક પુત્રી બની રહ્યાં. જન્મ પહેલાં જ નિયત થયેલ આ પ્રકારની નિયતિ તેમને આવી મળી. અનાયાસે જ તેમના અધ્યાત્મ્જીવનની ભૂમિકા આ રીતે રચાઈ.
પિતાને પગલે ચાલતા સેમ્યુઅલ પાદરીની પદવી મેળવવા માટે પત્નીને લઈને માન્ચેસ્ટર ગયા. ધર્મવિજ્ઞાનના અભ્યાસાર્થે માન્ચેસ્ટરના વેલ્સ્થન ચર્ચમાં તેઓ જોડાયા. આ સમયગાળા દરમિયાન માર્ગરેટનો ઉછેર નાની પાસે થયો. સેમ્યુઅલ પાદરી બન્યા પછી ડેવોનશાયરમાં સ્થાયી થયા બાદ માર્ગરેટ એમની પાસે આવ્યાં ત્યારે એક નાના ભાઈ રિચમન્ડ ને બહેન મેનો કુટુંબમાં ઉમેરો થયો હતો.
બાલ્યાવસ્થાથી જ માર્ગરેટ પર પિતાનો ભારે પ્રભાવ રહેલો. પિતા પણ પુત્રીની આધ્યાત્મિક તરસને પારખી ગયેલા. પુત્રીની તેમને ચિંતા હતી અને તેમને સતત માર્ગદર્શન આપવાની, પ્રેરણા ને હૂંફ આપવાની જવાબદારી તેમણે બજાવી. સેમ્યુઅલના એક પાદરી મિત્રે માર્ગરેટને જોઈને “આ બાલિકાને શિરે એક દિવસ ભારતવર્ષની સેવા બજાવવાની જવાબદારી આવશે.’ એવું આશ્ચર્યજનક ભવિષ્ય ભાખેલું. ત્યારે તો સેમ્યુઅલને પણ નવાઈ લાગેલી. પણ માર્ગરેટનાં જુદાં પડતાં વ્યક્તિત્વથી પિતા પરિચિત તો હતા જ. આથી જ શારીરિક રીતે થાકી ગયેલા ને મૃત્યુની નજીક સરકી રહેલા સેમ્યુઅલે તેની પત્નીને માર્ગરેટની સોંપણી કરતાં કહેલું :
“માર્ગરેટનું ધ્યાન રાખજે . એક વિરલ મહાન આદેશ તેની પાસે આવશે. ત્યારે માતા તરીકે તું તેને સહાય કરજે .’
સેમ્યુઅલે પુત્રીની સૂક્ષ્મ જરૂરિયાતોને આટલી સ્પષ્ટ રીતે જાણી લીધેલી ! માર્ગરેટના કમનસીબે પિતાનું ચોત્રીસ વર્ષની યુવાન વયે જ અવસાન થઈ ગયું. માર્ગરેટ માટે વિષાદનો આ પહેલો પરિચય હતો. જેને કારણે તેઓના મનમાં કુદરત પ્રતિ વિદ્રોહનાં બીજ નંખાયાં.
માર્ગરેટનું શિક્ષણ આયર્લેન્ડમાં જ થયું. દેશની પરિસ્થિતિને લઈને રાષ્ટ્રપ્રેમના સંસ્કાર પણ બાળપણથી જ દૃઢ થયેલા. ધર્મપ્રીતિ પણ લોહીમાં જ ભળેલી હતી. કૉલેજનું શિક્ષણ હેલિફિક્સમાં જ લીધું. સત્તરમા વર્ષે જ તેમણે કૉલેજ પૂર્ણ કરી લીધી. આમ વિદ્વતા, અનુકૂળ સંજોગો વગેરે સઘળું કંઈ પાસે હોવા છતાં અંદરની બેચેની તેમને જંપવા દે તેમ નહોતી. જીવન ને જગતનું નિરીક્ષણ કરતાં કરતાં એ તૃષા વધારે ઉદ્દીપ્ત બની. તેને નાથવા માટે માર્ગરેટે પ્રાકૃતિક વિજ્ઞાન, સંગીત અને ચિત્ર જેવા વિષયોનો અભ્યાસ વધાર્યો. એકાગ્રતા ને ખંત જેવાં ગુણલક્ષણોએ જ એક વિદુષી યુવતી તરીકે પ્રસ્થાપિત કર્યાં. અભ્યાસ પછી તેમના માટે અનેક ક્ષેત્રો ખૂલ્યાં હોવા છતાં તેમની પસંદગી અધ્યાપનના વ્યવસાય પર ઊતરી.
ઇ. સ. ૧૮૮૪માં માર્ગરેટે ઇંગ્લૅન્ડ જઈને કેસ્વિકની એક શાળામાં અધ્યાપનનુઆં કાર્ય શરૂ કર્યું. ૧૮૮૭માં બ્રેક્સહોમમાં તેમને નોકરી મળી. પેસ્ટોલૉજી નામન એક સ્વિસ અધ્યાપકે શોધેલી કેળવણીની નવી તરાહમાં માર્ગરેટને રસ પડતાં એનું અધ્યાપન તેમણે કરવા માંડ્યું. પેસ્ટોલોજીના શિષ્ય કોથબુલની શિક્ષણપદ્ધતિ પણ તેમણે અપનાવી ને એમાં નવીન પ્રયોગો કરવા માંડ્યા. આ ગાળામાં માર્ગરેટનું કુટુંબજવન પણ સ્થિર થયું.
આ સમય દરમિયાન મિસિસ ડી લેઉવ નામનાં મહિલાએ લંડનમાં માર્ગરેટ જેમાં રસ લેતાં હતાં એ પદ્ધતિની શાળા શરૂ કરવાનું નક્કી કરીને માર્ગરેટને જ નિમંત્રણ આપતાં, ઈ.સ. ૧૮૯૦માં માર્ગરેટે વિમ્બલડન ભણી પ્રયાણ કર્યું ને ત્યાં “રસ્કિન સ્કૂલ’ની સ્થાપના કરી. અહીં માર્ગરેટના જીવનમાં એક યુવાને પણ પ્રવેશ કર્યો. તે વ્યવસાયે એન્જિનિયર હતો. બંનેની રુચિમાં ઘણું સામ્ય હોઈ, બંનેએ લગ્નગ્રંથિથી જોડાવાનું પણ નક્કી કરેલું. કુટુંબની સંમતિ પણ મળી ગઈ. ત્યાં જ સગાઈ પહેલાં જ એ યુવાનનું અકાળ અવસાન થતાં માર્ગરેટ ફરી ભાંગી પડયાં. કુદરત પ્રત્યે પિતાના મૃત્યુથી જાગેલો વિદ્રોહ આ પ્રસંગથી બેવડાયો. એક બાજુ આધ્યાત્મિક તરસ છિપાવવાની વ્યાકુળતા ને બીજી બાજુથી સાંસારિક વિઘ્નોનું દબાણ માર્ગરેટને ઘેરી રહ્યું. તેમ છતાં તેમનો જીવનપ્રવાહ તો સત્યની શોધ ભણી જ જઈ રહ્યો હતો તેની સાબિતી માર્ગરેટે પોતાની રોજનીશીમાં લખેલી નોંધમાંથી મળી રહે છે. તેઓ નોંધે છે : ‘મારા બાળપણમાં મને લાગે છે કે હું આતુરતાથી સત્ય તરફના સાંકડા માર્ગ તરફ ધસ્યે જતી હતી; પરંતુ ૧૭ થી ૨૧ વર્ષની વયે, ચોક્કસ સત્ય, નિશ્ચિત અને એતિહાસિક રીતે વિશ્વસનીય હોય તે મારી અંદર મૃતપ્રાય થઈ ગયું અને છતાં એ જ ઉત્સુકતાથી સત્યની શોધ મેં ચાલુ રાખી.’ આ ઉત્સુકતાએ કરીને જ નિવેદિતા, માર્ગરેટમાંથી નિવેદિતા બની શક્યાં.
આંતરિક રીતે તીવ્ર મંથનના ગાળામાંથી પસાર થવા છતાં માર્ગરેટની બાહ્ય પ્રવૃત્તિઓને કોઈ આંચ આવી નહીં. ઈ.સ. ૧૮૮૪થી ૧૮૯૪ દરમિયાન તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓએ તેમને ખૂબ યશ અપાવ્યો. પણ અંદરથી થાકેલાં માર્ગરેટ નિરાશાથી ઘેરાયેલાં હતાં. પોતાના ધર્મને, ઈસુને ખૂબ ચાહવા છતાં પોતાના મન પરની તેમની શ્રદ્ધા ડગી ગઈ હતી. અઢાર વર્ષની ઉંમરે જ તેમને જણાવા લાગ્યું હતું તે મુજબ ધર્મનો અર્થ અમુક સિદ્ધાંતોમાં વિશ્વાસ કરવો એ ન હતો પણ ઈશ્વરની, સત્યની ખોજ હતો. ધર્મની આ પરિભાષાએ કરીને તેઓ ઈસાઈ ધર્મ પ્રત્યે સાશંક બન્યાં. આથી તેમણે બૌદ્ધ ધર્મનું શરણ લીધું. બુદ્ધના સિદ્ધાંતોએ તેમને આકર્ષ્યાં ખરાં પણ તેમનું સમાધાન તો ન જ થયુંં.
અઠ્યાવીસ વર્ષ સુધી વ્યાકુળ રહેવાની તપશ્ચર્યા કર્યા પછી છેવટે માર્ગરેટ માટે દિશા ખૂલી. માર્ગરેટના નિકટના મિત્ર લોર્ડ રિપને એક દિવસ પોતાને ઘેર આવવાનું નિમંત્રણ આપ્યું, કેમ કે તે દિવસે માર્ગરેટની ઝંખનાને સંતોષે એવા એક હિન્દુ યોગીનું તેમને ઘેર પ્રવચન રાખવામાં આવ્યું હતું. માર્ગરેટની બાલ્યાવસ્થામાં પિતાના પાદરી મિત્રે ભાખેલું ભવિષ્ય ધીમે ધીમે માર્ગરેટની નિકટ આવી રહ્યાની આ એંધાણી હતી.
લોર્ડ રિપનને ઘેર ભારતના મહાન અધ્યાત્મપુરુષ શ્રી રામકૃષ્ણ પરમહંસના પ્રિય શિષ્ય નરેન્દ્રનાથ ઉર્ફે વિવેકાનંદને મળીને અંગ્રેજ વ્યક્તિત્વ ધરાવતાં માર્ગરેટ પ્રથમ મુલાકાતમાં સ્વામીજીથી પ્રભાવિત ન થયાં. તેમના વ્યક્તિત્વે માર્ગરેટમાં આદર જરૂર પ્રેર્યો પણ તેમનાથી વશ થવા જેવું માર્ગરેટને કંઈ જણાયું નહિ. માર્ગરેટનાં સંશયવાદી ચિત્તે વિવેકાનંદના પ્રથમ પ્રવચનમાં કંઈ વિશેષ જોયું નહીં. અલબત્ત, ઘેર આવીને સ્વામીજીનાં પ્રવચન ઉપર વિચાર કરતાં તેમને જણાયું કે તેમની ઘણી વાતો નવી ન હોવા છતાં જુદી રીતે જરૂરથી કહેવાઈ હતી.
આથી સ્વામીજીનાં લંડનનાં પ્રવચનમાં માર્ગરેટ બીજી વાર ગયાં ને સ્વામીજી પર પ્રશ્નોની ઝડી વરસાવી. માર્ગરેટની તીવ્ર જિજ્ઞાસા જોઈને તર્કશુદ્ધ વ્યક્તિત્વ ધરાવતા વિવેકાનંદજીએ ખુશ થઈને માર્ગરેટની કદર કરતાં કહ્યું : ‘તમે કોઈ પણ વાત સહેલાઈથી સ્વીકારી શકતાં નથી. આ બાબતમાં તમારે દિલગીર થવું નહીં. છ વર્ષના લાંબા ગાળા સુધી મેં મારા ગુરુનો વિરોધ કર્યો હતો એને પરિણામે હું રસ્તાનો એકે એક કણ જોઈ શક્યો છું.’
સામી વ્યક્તિની સ્વતંત્રતા જાળવવાની વિવેકાનંદે દર્શાવેલી ઉદારતાને કારણે માર્ગરેટ પર સ્વામીજીનો પ્રભાવ પડયો, પણ આ બંનેનું પ્રથમ મિલન બિલકુલ ભાવુક નહોતું. ઝૂકી પડવાનું ન તો માર્ગરેટના સ્વભાવમાં હતું કે ઝુકાવવાનું સ્વામીજીની પ્રકૃતિમાં ન હતું. આથી જ બંનેનાં વ્યક્તિત્વો સમન્વિત થઈ શક્યાં. વિવેકાનંદજીની લવચીકતાએ માર્ગરેટનાં સંશયવાદી ચિત્તને સ્વચ્છ કરી નાખ્યું ને માર્ગરેટે સંશયનું શસ્ત્ર મ્યાન કર્યુ. તેમ છતાં આ સમર્પણ પૂર્ણ રીતે થયું નહોતું. આ અંગે માર્ગરેટે કરેલી નોંધ જોવા જેવી છે : “તેઓ જે કહેવા આવ્યા હતા તેના પ્રમાણભૂત અનુભવો મને ન થયા ત્યાં સુધી ક્યારેય મેં એનો અંતિમ સત્ય તરીકે સ્વીકાર કર્યો નહિ. એ સમયે એના વ્યક્તિત્વથી હું ખૂબ જ આકર્ષિત થયેલી છતાં પાછળથી જ મારા જોવામાં આવ્યું તે દૂરનું સ્થાન મે જોયું ન હતું.’ નિવેદિતા જે દૂરનું સ્થાન જોવા માગતાં હતાં, જેનું નામ સત્ય હતું, સાક્ષાત્કાર હતું તેનું દર્શન વિવેકાનંદજી દ્વારા જ તેમને થવાનું હતું તેવી પ્રતીતિ તો તેમને સ્વામીજીની બીજી મુલાકાત વખતે થઈ જ ગયેલી.
માર્ગરેટને મળ્યા પછી સ્વામીજી લંડન ગયા. “ઈશ્વર સિવાય બીજું કશું જ ન હોઈ શકવાની તેમણે કરેલી સિંહગર્જનાએ માર્ગરેટમાં રહેલો સુષુપ્ત જ્વાળામુખી બરાબરનો સળગાવ્યો. સળગવાની આ ક્ષણને પકડી લેતાં માર્ગરેટ નાંધે છે, આ સળગતો સાદ મારી અંદર હતો; પણ અભિવ્યક્તિ માટે કશું જ નહોતું. કેટલીયે વાર કલમ હાથમાં લઇને બેસી ગઇ છું, બોલવા ધાર્યુ છે ત્યારે વાચા નહોતી મળતી અને હવે તેનો અંત જ નથી.’ તમને જ જોઈતું તું તે આ. અનામ એવું કશુંક તત્વ, એક દિશા. માર્ગરેટને આનંદ એ વાતનો હતો કે તેમના જીવનમાં સ્વામીજીના આવ્યા પહેલાં તેઓ જીવન વિશે આછું જાણતાં હતાં. જો તેઆ જાણતાં હોત તો તેમણે શંકા કરી હોત. પરિજ્ઞામે આવનારી વિરલ ક્ષણ ઓળખાઈ ન હોત.
વિવેકાનંદ અને માર્ગરેટ વચ્ચ થવેલા અનેક સંવાદો, વિચારોની આપ-લે, પહેલે જ ધડાકે બંનેને ભેગાં કરવામાં તાત્કાલિક કામ આવતા નથી. બંનેએ એકબીજાને બરાબર માપ્યાં છે. જેમ માર્ગરેટે સ્વામીજીને ચકાસ્યા છે તેમ વિવેકાનંદે પન્ન તેમને શિષ્યા તરીકે સ્વીકારવામાં બિલકુલ ઉતાવળ કરી નથી. માર્ગરેટ ઇચ્છે છે કે સ્વામીજી તેમને કશુંક કહે, કોઈ કામગીરી સોંપે. પણ વિવેકાનંદે તેમને સીધી રીતે તો કોઈ આદેશ પહેલાં પણ અને જીવનના અંત સુધી આપ્યો જ નથી. એક વાર માર્ગરેટ સાથેની વાતચીતમાં માર્ગરેટ પાસે પોતે ઇચ્છેલા કાર્યનો અછડતો ઉલ્લેખ કરીને સ્વામીજીએ કહ્યું, “મારા દેશની સ્ત્રીઓ માટે મારી પાસે યોજના છે, અને મને લાગે છે કે તેમાં તમે મને ઘણાં મદદરૂપ થઈ શકો તેમ છો.’ માર્ગરેટ તો આ સાંભળીને ખુશ થઈ ગયાં. પણ સ્વામીજીએ તેમને ત્યારે તો ભારત આવવાની મંજૂરી ન જ આપી. સ્વામીજીના પ્રિય શિષ્ય ગુડવીન અને સેવિયર દંપતી સ્વામીજી સાથે ભારત આવતાં હતાં ત્યારે પણ માર્ગરેટને સ્વામીજીએ રોકી રાખીને ઇંગ્લૅન્ડમાં જ કામ કરવા જશાવ્યું. સ્વામીજી એ ચકાસવા માગતા હતા કે માર્ગરેટ માત્ર પોતા પ્રત્યેના પ્રેમ અને ભક્તિને લઈને જ ભારત આવવા માગતા હોય તો એ બરાબર ન હતું.
એક પત્રમાં તેમણે સ્પષ્ટ થઈને માર્ગરેટને જણાવ્યું : “પોતાનો સમગ્ર પ્રેમ મને આપતાં લોકોને હું જોઉં છું પરંતુ બદલામાં મારે કોઈને પણ મારો સમગ્ર પ્રેમ ન આપવો જોઇએ કારણ કે એ દિવસે કાર્ય નાશ પામશે. નેતાએ નિરપેક્ષ રહેવું જોઈએ. મને ખાતરી છે કે તમે આ સમજો છો.’ વિવેકાનંદ વ્યક્તિનિષ્ઠામાં નહીં પણ વિચારનિષ્ઠામાં માનતા હતા. તેમની પાસે રહેવું કેટલું કપરું હશે તેનો અંદાજ આ પત્ર પરથી સહેજ આવી જાય છે.
ગુરુની ચોખવટ પછી પણ જ્યારે માર્ગરેટ ભારત આવવા ઉતાવળાં થઈ રહ્યાં ત્યારે સ્વામીજીએ તેમનામાં આયરીશ ખમીર જોયું. શિષ્યાની આટલી ભક્તિ ને જે કરવું પડે તે કરવાની તૈયારી હોવા છતાં સ્વામીજીને બે શંકા હતી : એક તો, માર્ગરેટ ભારતની આબોહવા સહી શકશે કે કેમ અને બીજી, પોતાનું સ્વત્વ ભૂલી શકશે કે કેમ. આ શંકાના સમાધાન માટે વિવેકાનંદે માર્ગરેટને અંતિમ ચેતવણી આપતા પત્રમાં માર્ગરેટ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીને તેમની ક્ષમતાનો સાદર સ્વીકાર કર્યો. ભારત સારુ સાચી સ્ત્રીની જરૂરિયાત સ્વીકારીને તેમણે જણાવ્યું તે મુજબ ભારતે હજુ મહાન સ્ત્રીઓ પેદા કરવાની બાકી હતી. આથી બીજી પ્રજામાંથી આ પ્રકારે સ્ત્રીઓ ઉછીની લીધે જ છૂટકો હતો. આ ક્ષમતા માર્ગરેટમાં હતી એં જણાવીને ભારતની વિષમ આબોહવા તથા ભારતીય પ્રજાની ધોળી ચામડી પ્રત્યેની ઘૃણા અંગે ચેતવણી પણ આપી. આ બધું હોવા છતાં માર્ગરેટ ભારત આવવા માગતાં હોય જરૂર આવે એમ નોંધીને એક મહાન ગુરુને જ સૂઝે ને છાજે તેવું આશ્વાસન આપતાં ઉમેર્યુ : તમે આમાં કૂદી પડો તે પહેલાં પૂરો વિચાર કરજો. અને જો કામ્ કર્યા પછી તેમાં નિષ્ફળ જાઓ કે કંટાળી જાવ તો મારા વતી તો હું વચન આપું છું કે તમે ભારત માટે કામ કરો કે ન કરો, વેદાંત રાખો કે છોડી દો, હું છેલ્લી ઘડી સુધી તમારી પડ્ખે ઊભો રહીશ… બીજું , તમારે તમારા પગ ઉપર ઊભા રહેવું.’ આ હતી એક સમર્થ ધર્મગુરુની વિદેશી શિષ્યા પ્રત્યેની અપેક્ષા. વિવેકાનંદે કશા છોછ વગર માર્ગેરેટને એવી રીતે નિમંત્રણ આપ્યું જેમાં શિષ્યાની સ્વતંત્રતાની પૂરી અદબ જળવાતી હતી. સાથોસાથ એણે જે કરવાનું હતું તે કામ કેવું હતું ને કોની સાથે રહીને કરવાનું હતું તેની પૂરી સ્પષ્ટતા હતી. સ્વામીજી માર્ગરેટને જરા પણ ખેંચવા માંગતા ન હતા. આ એક અનાસક્ત સંન્યાસીએ માર્ગરેટે શોધેલા જીવનદર્શનનો સ્પષ્ટ રીતે આલેખેલો ચિતાર હતો.
ગુરુના આ મહાન આદેશને ગંગાધર શિવની જેમ હૃદયજટામાં ઝીલીને આ મહાન નારીએ સ્વજનોની વિદાય માગી. પિતા સેમ્યુઅલે કહેલો મહાન આદેશ આવી પહોંચેલો જાણીને તેમનાં માતાએ પણ પ્રેમપૂર્વક વિદાયનું દુ:ખ સહીને પુત્રીને બીજી વાર નિવેદિત કરી દીધી ! દેશ, વેશ, બંધુબાંધવો, દરજજો, ગોઠવાયેલું જીવન – આ સર્વ કંઈ છોડીને ૧૮૯૮ની અઠાવીસમી જાન્યુઆરીએ માર્ગરેટે કલકત્તાની અપરિચિત ભૂમિ પર તેમને લેવા આવેલા એક માત્ર પરિચિત એવા મહાન ગુરુ વિવેકાનંદની સાથે પ્રવેશ કર્યો. માર્ગરેટને મન આ એક જ પરિચય સમગ્ર ભારતના પરિચય માટે પૂરતો હતો.
ક્રમશઃ
હવે પછીઃ માર્ગરેટમાંથી નિવેદિતાની ગાથા
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સ્મૃતિસંપદા – સ્મરણગંગા : સરયૂ દિલીપ પરીખ – મારી સફર…[૪]
સરયૂબેન પરીખની જીવન સફર આપણી યાત્રાના પહેલા પડાવમાં આપણે તેમનાં બાળપણ, તેમનાં માતુશ્રીનાં વ્યક્તિત્વનો તેમના પર પ્રભાવ અને દિલીપભાઇ સાથેનાં તેમનાં લગ્નના તબક્કાઓ થી અવગત થયાં. તે પછી અમેરિકામાં આગમન અને કેલિફોર્નિયા તરફ પ્રયાણ અને સંગીત સુવર્ણકાળ, ઓરલાન્ડો, ફ્લોરિડા અને ૧૯૮૫ ટેક્સાસ ૧૯૯૬ના તબક્કાઓ વિશે જાણ્યું.હવે આગળ …
૯. સેવાકાર્ય કરવાનું અહોભાગ્ય.
સેવા કાર્યો જેવા કે, અંગ્રેજી ભણાવવું, ઘરડા ઘરમાં જઈને આનંદદાયક વાંચન કરવું, Women’s shelterમાં બેબી બ્લેન્કેટ અને groceries દર મહિને આપવી, ચર્ચમાં ચાલતી ‘Family First’ નામની સંસ્થામાં દર સપ્તાહે સેવા આપવી વગેરે હું કરતી હતી. સૌથી સંતોષકારક સેવાકર્મ કરવાની એક તક શોધી કાઢી. હ્યુસ્ટન સ્થિત, Asian Against Domestic Abuse, AADA નામની સંસ્થામાં જોડાઈ. “સરયૂ, તમે ગૃહ કંકાસમાં મદદનું સેવા કાર્ય કેમ પસંદ કર્યું? કોઈ સ્વાનુભવ?” આના જવાબમાં…મારા જીવનમાં કે મારા નજીકના કોઈ સગામાં એવો કોઈ ગંભીર ઘરકંકાસનો મામલો મેં જોયેલો નહીં. હાં, પતિ-પત્નીનાં ઝઘડામાં સ્ત્રી-શક્તિનો પરચો જરૂર જોયેલો. એક ધૂંધળી યાદ…આઠ વર્ષની હું મામીની વાત સાંભળતી હતી, “ભાગુબેન, ગામડેથી આતા આવ્યા છે તે કહેતા હતા કે આપણાં સગામાં, બાપ-દીકરાએ વહુને ગળુ દબાવી મારી નાખી. તેણીએ એવા પગ પછાડેલાં કે ગારમાં ખાડા પડી ગયા હતા.” થોડા સમયમાં વરના બીજા લગ્ન લેવાયા હતા.
આમ અમેરિકામાં સરયૂ માટે અનુભવનું નવું પુસ્તક ખુલ્યું…અને પોતાના માણસ કેટલા ક્રૂર થઇ શકે તેની જાણકારી છતી થઈ. આ સંસ્થામાં ભારત, મિડલ ઇસ્ટ અને બીજા એશિયન દેશોની ભાષા જાણતાં સેવા કાર્યકરો પણ હતાં. એક પછી એક કોયડાઓ આવતાં ગયાં અને તેમા સો ટકા તન-મન અને સમય આપી મદદ કરતી રહી. કેટલાક કિસ્સાની યાદ હજુ પણ દર્દ આપે છે. ભાષા ન આવડે અને અમેરિકામાં પોતાના હક્કના નિયમોથી અજાણ સ્ત્રીઓ ઘણું સહન કરે છે. અલબત્ત, અમારી સંસ્થાની મદદ મેળવી પોતાના જીવનને કેટલા અંશે સુધારી શકે એ તેમની અંતર શક્તિ પર આધારિત છે. આજ સુધી દિલીપ અને મેં માનસિક અને આર્થિક મદદ કરવામાં કોઈ સીમિત સમય રેખા નથી રાખી. હજુયે, હ્યુસ્ટનથી ઓસ્ટિન આવ્યા પછી પણ, કોઈ સહાય માંગતો ફોન આવે તો તેમને જવાબદાર સૂત્રો સાથે સંપર્ક કરાવી, કેમ અને ક્યાં સલામતી માટે જઉં તેની વ્યવસ્થા કરાવી આપું છું. ઘણી બહેનોને સંપૂર્ણ વિશ્વાસ છે…અને તેથી કોઈ પણ મૂંઝવણ આવે કે પહેલો ફોન મને જોડે છે. જ્યારે સવાલ પૂછાય, “સમય છે?” ત્યારે જવાબ હોય, “I will make time.” એક વિશિષ્ટ વાત એ છે કે દિલીપના માર્ગદર્શન નીચે ઘણા લોકો અને આવી બહેનો નાણાકીય ભવિષ્યને સલામત કરી શક્યા હોવાથી…આજની નાની આવક પર ચિંતા રહિત ગુજારો કરી રહ્યાં છે.
ત્રસ્ત બહેનોને બને તેટલી મદદ કરવી તે આપણું કર્મ…પરિણામ તેનાં પક્ષમાં જ આવે તેવું ન પણ બને. આ વાત જાણવા જેવી છે. એ દિવસે, હું ‘Hotline’ ફોનના જવાબ આપતી હતી. બીજા પ્રાંતમાંથી ફોન આવ્યો. “મારી ભાણેજ અમેરિકા આવી રહી છે અને હ્યુસ્ટનમાં તેનાં પતિ અને પાંચ વર્ષની દીકરીને મળવા માંગે છે. બીજી સંસ્થાએ ના પાડી દીધી છે…હવે તમારો આધાર છે.” અમારી સંસ્થા સ્થાનિક મદદ કરવા શક્તિમાન, તેથી ‘ના’ કહેવાનો સહેલો રસ્તો હતો. પણ મારા મુખેથી ‘ના’ જલ્દી નીકળે નહીં. બહેને વાત આગળ ચલાવી. તેમણે કહ્યું કે, ‘મારી ભાણેજ રીમા, બત્રીસ વર્ષની છે. હ્યુસ્ટનમાં તેનાં સાસુ-સસરા, પતિ અને બાળકી સાથે રહેતી હતી. બે વર્ષ પહેલાં તેઓ બધાં ભારત ગયાં. રીમાને ભારતમાં તરછોડી, બાળકી સાથે અમેરિકા પતિ આવતા રહ્યા. રીમાનાં Green Card/passport પતિનાં કબ્જામાં હતાં. વિધવા માની દીકરી અને ઓછી સમજવાળી રીમા, ભારતમાં કકળતી રહી. બે વરસ પછી રીમાએ અમેરિકા આવવાની પરવાનગી મેળવી છે.” અમારાં Boardમાં પૂછવાનું મેં વેણ આપ્યું. અમારી સંસ્થા તરફથી ‘હા’ મળતા…તેનાં માસી રીમાને મારે હવાલે કરી જતાં રહ્યાં.
મેં રીમાને Women’s Shelterમાં રહેવાની વ્યવસ્થા કરાવી આપી. શેલ્ટર, એક ગુપ્ત ઘર, જ્યાં સ્ત્રીઓ છૂપાઈને હુમલાખોર માણસથી સલામત રહી શકે. મર્યાદિત સમય માટે ત્યાં બધી સગવડતાઓ આપી સ્ત્રીઓને પગભર કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. રીમાએ ફાર્મસીનો અભ્યાસ કરેલો, તેથી તે લાયસન્સ પરીક્ષા પાસ કરી લે અને પગભર થઈ જાય તેવી અપેક્ષા સાથે મેં પુસ્તકો લાવી આપ્યાં. અનેક મદદ મળવાં છતાંયે ન તો અભ્યાસ કર્યો કે ન પરીક્ષા આપી. એક દયાળુ મેનેજર સાથે વાત કરી સ્ટોરમાં રીમાને કામ અપાવ્યું. નજીકમાં એક બંગલામાં રુમ ભાડે રાખી રહેવાની વ્યવસ્થા કરી આપી. મારી લેવા મૂકવાની જવાબદારી…જોકે લેવા જઈએ ત્યારે તૈયાર જ હોય તેવું નક્કી નહીં. અમારી સેવા સંસ્થામાં વાટાઘાટ કરી કાર અપાવી. ગમે ત્યારે રીમાનો ફોન આવે. એક રાત્રે અગ્યાર વાગે સ્ટોરમાંથી રીમાનો ફોન આવ્યો, “સરયૂ, મારી કાર સ્ટાર્ટ નથી થતી.” હું ઊઠીને તૈયાર થવા જતી હતી ત્યાં એક વિચાર આવ્યો, “રીમા, ગીયર ક્યા સ્લોટમાં છે?” “ઓહ! ડ્રાઈવમાં…” કાર બંધ કરી ત્યારે Dમાં જ રહી ગઈ જેથી કાર સ્ટાર્ટ ન થઈ શકે. આવા ગોટાળા વારંવાર થતા. માનસિક નિરાશાની બિમારીને માટે માનસ ડોક્ટરની મદદ પણ અપાવી.
મુખ્ય વાત, રીમાને તેની દીકરીને મળવું હતું. છૂટાછેડાની માંગણી તેનાં પતિએ કરી હતી. કોર્ટ-હુકમ પ્રમાણે, એક મોલમાં મળવાનું નક્કી થયું. ઘણું દૂર અને પહેલી વખત અજાણ વ્યક્તિને મળવાનું હતું, તેથી સલામતી માટે દિલીપ અમને ડ્રાઈવ કરીને લઈ ગયા. રીમા સરસ તૈયાર થઈ હતી અને બાળકી માટે ડોલ લઈને આવી હતી. પાંચ વર્ષની નાજુક દીકરી તેના પપ્પાને ચીપકીને બેઠી હતી. રીમાએ પ્રેમથી બોલાવી પણ ન આવી અને અમારી આંખો ભીની થઈ ગઈ. જરા પરાણે રીમા સાથે મોલમાં મોકલી. પાછા ફરતાં હસતી બાળકીને જોતાં અમને આનંદ થયો. પણ કારમાં રીમા કહે કે, “તેના પપ્પાને જોઈને પહેલી વખત હસી.” નિયમ પ્રમાણે બાળકી સાથે મુલાકાતો થઈ, પણ તે અળગી જ રહી.
કોર્ટમાં રીમાના પક્ષમાં ‘સારી મા છે’ એવો અભિપ્રાય આપે એવા કોઈ ઓળખાણવાળા ન હતાં. અંતે રીમાને એકે બાબત સફળતા ન મળી. દસ મહિના પછી તેના માસીને ત્યાં પાછા ફરવા સિવાય રસ્તો નહોતો. પોતાની ઘરવખરી જેમની તેમ કારમાં ભરીને મારા Drivewayમાં મૂકી તેણી નીકળી ગઈ. કાર ખાલી કરી, વેચી અને મળેલા ડોલર તેના ન હતા તો પણ, મેં રીમાને જ આપ્યા. આ સત્યકથા મેં “સૂકાયેલાં આંસુ” નામે લખી છે. ત્રસ્ત સ્ત્રીઓને મદદ મળે પણ પોતાની આંતર શક્તિ વિના સફળતા ન મળે.
બીજા સફળ દાખલાઓ છે જ્યાં સહાય મળતા સ્ત્રીઓએ હરણફાળ ભરી છે. ‘અવહેલના’ ‘આંસુમાં સ્મિત’ ‘નવજીવન મંત્ર’ એવી ઘણી સત્યકથાઓ મારી વેબસાઈટ પર અને “દાવડાના આંગણામાં” “દર્પણમાં” પ્રકાશિત થયેલી છે. અજાણ્યા વાંચકો પોતાની સુખદુઃખની લાગણીસભર વાતોની મને ભાગીદાર બનાવે છે, તો કેટલાક સાહિત્ય પ્રેમીઓનો આ માધ્યમ દ્વારા પરિચય થાય છે.
સફળ રીતે ગૃહ કંકાસમાંથી બચનાર ભાનુની વાત કરીએ. અમદાવાદથી ૩૫ વર્ષની ભાનુએ, અમારાં એક ઓળખીતા, બીજવર સાથે લગ્ન કરી હ્યુસ્ટનમાં, પતિ, ૧૬ વર્ષનો સાવકો દીકરો અને સાસુ-સસરા સાથે અનેક અરમાનો સાથે સંસાર શરૂ કર્યો. વર અને સાસુ પોતાની જોહુકમી બતાવતાં. ‘અંગ્રેજી નથી આવડતું’ લગતી માનહાની, ‘ગમાર’ વગેરે પ્રમાણપત્રો આપવા લાગ્યાં. ભાનુ ભારતમાં સ્વતંત્ર ધંધો કરતી હોશિયાર વ્યક્તિને કેમ દબાવવી તેના પ્રયત્નોમાં સફળ ન થતાં…પતિએ ચપટી વગાડી બારણા તરફ આંગળી ચીંધી. “તારા બિસ્તરા બાંધ અને ચાલતી પકડ…એક પૈસો પણ નહીં મળે.”
પહેલી પત્નીએ આવો અન્યાય સહન કરી લીધો હતો, પણ ભાનુએ મારી મદદ માંગી અને અમારી સંસ્થા દ્વારા પોતાના હક સાથે છૂટાછેડા લીધા. અમે તેના પતિના મિત્ર હતા તો પણ મારી પાસે મદદ લેવાની હિંમત બતાવી તેનું કારણ…તેનામાં પ્રમાણિકતાની હિંમત હતી. પોતાનો પક્ષ મજબૂત કરવા જરૂરી પત્રો અને પ્રમાણો સાચવીને વકીલને આપ્યાં હતાં. આ ખાસ વાત નોંધનીય છે કે કોર્ટની ચૂકવણી સુધી, દોઢ-બે વર્ષ ભાનુ પતિના ઘરમાં હકથી રહી અને અંતે માનભેર ઘર છોડ્યું. સમય સાથે પતિના અમુક સગાઓ અને મિત્રમંડળ ભાનુની તરફેણમાં આવી ગયાં. આજે વર્ષો પછી પણ તેણે સારા સંબંધો જાળવી રાખ્યાં છે. પોતાના ભાગમાં આવેલ ધનરાશીને અમારી સલાહ પ્રમાણે સારી રીતે ગોઠવીને ભવિષ્યને secure કરી આજે આનંદથી જીવે છે. આવી અનેક ઘટનાઓ મદદ કરતી સંસ્થાઓને આભારી છે.
———
૧૦. મનોચિત્તમાં નવી ગોઠવણ.
હજી તો હ્યુસ્ટનમાં સ્થાયી થયાને બે વર્ષ થયાં હતાં…ત્યારે એક અણધારી પરિસ્થિતિ ઊભી થઈ. Microelectronics -દિલીપનો કર્મવિભાગ, Idaho stateમાં ખસેડાયો. તેણે વહેલા રિટાયર થવાનું નક્કી કરી લીધું. અમારી રહેવાની પદ્ધતિમાં જરા પણ તકલીફ ન આવે તેવી વ્યવસ્થા સાથે, સંપૂર્ણ સહયોગ અને સમજણ સાથે રાજીનામું આપ્યું. આ નિર્ણયનો કદી પસ્તાવો નથી થયો અને અનેક મિત્રો દિલીપ પાસેથી નિવૃત્તિમાં નિજાનંદની પ્રવૃત્તિઓમાં મસ્ત રહેવાની રીત શીખવા પ્રયત્ન કરે છે. વર્ષોનાં નિત્યક્રમમાં…સવારમાં આધ્યાત્મ અભ્યાસ, બપોરની કોફી પછી ચિત્રકામ અને રાગ રાગિણીથી ગુંજતું ઘર. સુંદર ચિત્રો આધ્યાત્મિક અને વિજ્ઞાનના સમન્વય સાથે, E = mc2, શિવ અને શક્તિ, પુરુષ અને પ્રકૃતિનાં ગહન સંદેશ આપે છે. તેને જાહેર પ્રદર્શન અને વખાણ સાંભળવાની બિલકુલ વૃત્તિ નથી. આપણે તો નવું સર્જન અને પ્રતિભાવની ઝંખના – એકસાથે જ જોડાયેલી હોય છે.
જીવન બદલતો સમય…સંતાનોનાં લગ્ન પ્રસંગો. ઈન્ટર્નશીપ પછી સંગીતાએ Dallasમાં એક Physician Group સાથે કામ શરૂ કર્યું. જીવનસાથી શોધવાના પ્રયત્નો ચાલુ હતા. સંગીતાએ અમને મૃદુલ રહેમાન, એક બાંગલા દેશી મુસ્લિમ યુવકનો પરિચય કરાવ્યો. મુસ્લિમ અને હિંદુ વચ્ચેનો ઊંડો વિરોધ નાનપણથી મનમાં કોતરાયેલો હોય છે. કેટલાક મા-બાપ તો સંતાનોને ચોખ્ખી ચેતવણી આપતા સાંભળ્યાં છે કે, “’મુસ્લિમ અને કાળીયા નહીં જ…” અમને આવી કોઈ સંકુચિત માન્યતાનો ભાર ન હતો. વ્યક્તિ તરીકેની પસંદગીમાં અમને સંગીતાની સમજ પર પૂરો વિશ્વાસ હતો. મૃદુલમાં શરૂઆતથી જ ઉદારતા, ઠરેલતા અને કર્તવ્ય નિષ્ઠા જોવા મળ્યાં. તેના પરિવારે પણ સંગીતાને ‘बहु मा’ બનાવીને આવકારી.
સંગીતા-મૃદુલના લગ્ન અનોખી રીતે થયેલા. સમજ્યા વગર થતા કિયાકાંડ અને લગ્ન વિધિઓમાં અમે માનતા નથી. નિર્ણય લેવાયો હતો કે ધાર્મિક રસમ કરવી નથી. લગ્નની ઉજવણીની તૈયારીઓ ઉમંગથી થઈ ગઈ. સંગીતા-મૃદુલ કોર્ટમાં કાયદા અનુસાર દસ્તાવેજ કરી આવ્યા હતા. માર્ચ ૨૦૦૬માં હ્યુસ્ટનમાં બે દિવસની ઉજવણી, જેમાં દરેક પ્રસંગ, બન્ને પક્ષની લાગણી દુભાય નહીં તેની સાવચેતી સાથે, વર-કન્યાએ નક્કી કર્યાં હતા. આશ્ચર્યની વાત એ બની કે મારી પાડોશી અમેરિકન બહેન બહારગામ જવાનાં હતાં. અમારા સારા સંબંધને આધારે મેં પૂછ્યું કે તમારો બંગલો અમારાં મહેમાનો માટે…અને અડધા વેણે, તેમણે મોટા બંગલાની ચાવી મને આપી દીધી. પચ્ચીસેક સરખે સરખા સગાઓને બાજુના જ બંગલામાં ઉતારો આપી શક્યા. ભેગા રહી બધાંએ મજા કરેલી…તે વર્ષો પછી પણ યાદ કરે છે. ખિલખિલાટ હસતાં ચહેરા, મધુર સંગીત અને અમારા મિત્ર, ચિત્રકાર કાર્તિક ત્રિવેદીનું પિયાનો વાદન… લગ્ન ઉજવણીનું અલગ વાતાવરણ સર્જાઈ ગયું હતું. અમારા ખાસ મહેમાન, મુનિભાઈ અને ઈલાભાભી વડોદરાથી મામેરું લઈને આવેલાં. મુનિભાઈની જનકલ્યાણને આવરતી અનેક સિદ્ધિઓ માટે અમને અનેરું ગૌરવ છે, પણ એથીય વધારે અમારો ભાઈ-બહેન વચ્ચેનો અસ્ખલિત પ્રેમ, જેમાં ભાભીના સ્નેહથી ગહેરાઈ વધી છે; તે કીમતી છે…
“ખુશીનો ઉત્સવ હશે કે કષ્ટનું કારણ હશે,
હ્રદયના ખાસ ખૂણામાં સહોદર હાજર હશે.”માતા તરીકે મારી મહા કસોટી આવી જ્યારે મારા મેધાવી, પ્રેમાળ, દીકરાએ સહાધ્યાયિની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. પાંચેક વર્ષ અમે તેની પ્રેમિકા સાથે લાગણીદોર બાંધવા પ્રયત્નો કર્યાં, પરંતુ તે થઈ શક્યું નહીં. એ સમયે મા તરીકે મારે પણ ‘growing pain’ સહન કરવું પડ્યું. મારે મારું અંતર નિરીક્ષણ, મન-મંથન કરવાની ફરજ પડી. સત્ય સમજાયું કે, દરેકની સાથે ઘનિષ્ઠ સંબંધ નથી થઈ શકતા, ભલેને તમે ગમે તેટલા સાલસ હો કે સામેની વ્યક્તિ પણ સારી હોય. મને આંચકો એટલે લાગ્યો કે મને શ્વસુર પક્ષ સાથે બહુ મીઠા સંબંધો છે તેવા, અમારી પુત્રવધૂ સાથે ન હોય એવી કલ્પના ન હતી. મન-મગજમાં નવી ગોઠવણી કરવી પડી.
સંતાનને
મન મનન મંથન ને ઉરના ઉજાસ પછી…
આપું છું, મુક્તિ આજ તારા નવજીવનમાં,
આપું છું, મુક્તિ મારી આશાના બંધનમાં,
આપું છું, આંસુ સાથ ખુશી મારા નયનોમાં,
સાચા આ સ્નેહની કસોટી, ઓ બાળ મારા!તું જ્યારે ચાહે, છે ખુલ્લું આ દ્વાર મારું,
આવે તો વારું, ના આવે ઓવારૂં.Let Go—
We raised you with love and tenderness.
You responded and returned all that gentleness.
But now I have to learn to let go.I set you free to your own universe.
I set you free from my bondage of desires.Forever
Open my heart and open my door,
I’m happy you come, blessings if you don’t.——–
છેલ્લા બે દસકાના અનુભવ પછી આનંદ સાથ અમુક મુદ્દા અહીં ગણવા છે. એક તો, જો કોઈ સ્વીકારનાર ન હોય તો તમે પ્રેમ, મદદ કે સેવા, અરે નફરત પણ આપી નથી શકતા. સ્વીકારનાર મળે તો જ આપનારનું અસ્તિત્વ છે. બે પ્રકારના માનવી, NORMAL અને Not-NORMAL. જે અકોણી વ્યક્તિ તમારા જીવનમાં આવે છે તે તમારી માનસિક ઉન્નતીમાં મદદરૂપ થાય છે. જે જેવા છે તેવાનો સ્વીકાર, તમારું સુખ-દુઃખ કોઇનાં વર્તન પર આધારિત ન હોય તેનો પાઠ શીખવો આવશ્યક છે. ભુલ્યા વગર…નવા પરિવારના સ્નેહનો લાભ લેતી અનેક સારા સંબંધોની મહેકને બિરદાવીએ…
સામાજીક તફાવત જોઈએ તો, ભારતીય કેળવણી અનુસાર પુત્રવધૂ ‘મારી ફરજ છે’ સમજી શ્વસુર પક્ષની સંભાળ લેતી હોય તે દરમ્યાન, એકબીજાની કદર કરવાની…સમભાવ ખીલવાની શક્યતા રહે. પુત્રવધૂ ભારતીય હોય કે પરદેશી, નજીવા કારણે પતિના સ્વજનોનો અનાદર કરતી દેખાય છે, અને તે વાતનું ગુમાન પણ કરતી હોય છે. સવાલ થાય કે…શું તેને પતિ પ્રત્યે પ્રેમ અને આદર છે?
કૌટુંબિક અણબનાવ છુપાવવો તેવું મારા સ્વભાવમાં નથી. મનુષ્ય સ્વભાવનું તટસ્થ ભાવે વિશ્લેષણ કરવાનું મને ગમે. મારા મનમંથન અને સમીરના સતત, સરળ, સહજ સ્નેહને પરિણામે, દિકરો અમારાથી દૂર નથી થયો અને પોતાનું ગૃહસ્થ જીવન પણ એટલી જ ખુશીથી મ્હાણે છે. અમને ડબલ પ્રેમ આપતી બે પૌત્રીઓ આપી છે તેને માટે, અમારી સાથે ન બોલતી વહુના પણ અમે આભારી છીએ. હકારાત્મક આવિર્ભાવ; સુખની ચાવી. બહેન-ભાઈ સંગીતા અને સમીર વચ્ચે અચલ મૈત્રીભાવ, તેથી સમીર, a Law-Professor in Portland, અને પૌત્રીઓ વર્ષમાં ત્રણ વખત ઓસ્ટિન આવે ત્યારે અમે તહેવાર-ઉત્સવ ઉજવીએ છીએ. ઘણી સફળતાઓમાં સૌથી વિશિષ્ટ…સમીરની, Fulbright Scholar award for advanced research and university lecturing…૨૦૧૯માં પસંદગી થતાં તેના કુટુંબ સાથે Spain, Italy અને તે ઉપરાંત visiting professor at University of Oxford, UKમાં રહેવાની તક મળી. દીકરાનો હંમેશા પહેલો કોલ અહીં આવે…ખુશીનો હોય કે તકલીફનો.
———
૧૧. ઓસ્ટિન, ટેક્સાસ. ૨૦૦૯
દીકરી-જમાઈના આગ્રહથી અમે ગમતાં હ્યુસ્ટનને છોડી, ૨૦૦૯માં ઓસ્ટિનમાં સંગીતાના નિવાસથી નજીક બંધાવેલા ઘરમાં રહેવાં આવ્યાં ત્યારે પૌત્ર કેતન દોઢ વર્ષનો હતો અને પછી દસ દિવસમાં અમારી પૌત્રી સુફિયાનો જન્મ થયો. પૌત્ર-પૌત્રીના બચપણનો ભરપૂર આનંદ લીધો. સંગીતાએ લગ્ન પહેલા પાંચ વર્ષ ધગશથી ડોક્ટર તરીકે કામ કર્યું હતું. પરંતુ બાળકો પછી સપ્તાહનાં સોળ કલાક જ કામ કરે છે. તેથી કોઈ દિવસ અમને પણ અતિભાર નહીં, અને તેમનાં જીવનમાં પણ કોઈ રઘવાટ નહીં. બાળકો સાથેના સમયને અમે ‘precious time’ ક્હીએ છીએ, baby-sitting ક્યારેય નહીં. દિલીપને જીવનમાં આટલું હસતા ક્યારેય સાંભળ્યા ન હતા. મૃદુલ-સંગીતાએ તેમના માતા-પિતાને આ જ પડોશમાં ઘર બંધાવી આપ્યું છે. આ રીતે, બન્ને બાળકો નજીકમાં રહેતાં દાદા-દાદી અને અમારી છાંયામાં ઊછરી ગયાં. નિશાળેથી તેમને ઘેર લઈ આવવા અને થોડા કલાક સાથે પસાર કરવા, તે સમય યાદ કરતાં દિલ ભરાઈ આવે છે. અમારાં માતા-પિતાનો સહવાસ અમારા બાળકોને મળ્યો નહીં…તેનું પુનરાવર્તન ન થાય તે વાતની દીર્ઘદ્રષ્ટિ સાથે અમે ઓસ્ટિન આવ્યાં; જે સૌથી ઉત્તમ નિર્ણય સાબિત થયો. ઓસ્ટિન હંમેશ માટે આવતાં પહેલા ચોકસાઈ કરેલી કે, જમાઈ સાથે ફાવશે કે નહીં! અને બહુ સરસ ફાવ્યું છે. સારા સંબંધોનું શ્રેય અમારા જમાઈને જાય છે.
ઊંચી ટેકરી પર ઘર, જ્યાંથી ખુલ્લા અવકાશમાં સવારે અરુણોદય જોઈએ અને સાંજે સૂર્યાસ્ત જોઈએ. કોઈ Resort પર જવાની જરૂર ન રહી.
Must Have Done …. Good
A house on a hill and a window to the sky,
In blue of my eyes I feel warm sunny sky.Deep sleepy nights and bright dreamy days,
Delightful dawns play a symphony of rays.A fistful of colors thrown all around space,
Raindrop shine through the rainbow lace.Wild flowers rally on wonderland prairie,
White wild posies do dance with the fairy.Most of all, the good attitude
Lets me live at a lovely latitude.Holy hue humbles and hugs me in verse,
Have I done some good to due deserve!—— ….કાવ્ય લખાઈ ગયું હતું.
ઓસ્ટિનમાં American Gateway સંસ્થા દ્વારા Asylum સેવાકાર્ય કરવાની નવી દિશા મળી. અસાઇલમ શોધતાં હિંદીભાષી નેપાલી અને પાકિસ્તાની સદસ્યોની translator તરીકે મદદ કરી, તે ઉપરાંત ગુજરાતી-અંગ્રેજી ભાષાંતરનું હજી પણ સેવા કામ કરું છું. એક કિસ્સો કહેવો જ પડશે. એક મુસ્લિમ દેશમાંથી ભાગી આવેલા ઓગણીસ વર્ષના છોકરા સલીમને લઈને સેવાર્થી વકીલ મારે ઘરે ચારેક બેઠક માટે આવેલી. સલીમ હિંદીમાં કહે અને હું કહું તેમ અંગ્રેજીમાં વકીલ તેનાં કમ્પ્યુટરમાં લખતી જાય. સલીમને પોતાના ઘરેથી ભાગવું પડ્યું હતું કારણકે તે Gay હતો. પણ પછી રાજકીય દૂશ્મનો થતાં અનેક દુવિધા સહન કરી અમેરિકામાં ઘુસ્યો હતો. રાજકીય સલામતી ન હોય તો જ આ દેશમાં રહેવાની પરવાનગી મળી શકે એ વાતની મને ત્યારે જાણ થઈ. ભલા નેપાલી સભ્યોને પણ પોતાનો પક્ષ મજબૂત કરવામાં મદદ કરી શકી તેનો સંતોષ છે.
મનગમતી પ્રવૃત્તિ, Bridge -card game રમવા માટે મેં જાહેરાત આપી અને અમે ચાર બહેનોએ મારા ઘરે સપ્તાહમાં બે સવારે રમવાનું શરૂ કર્યું. આ નાનીશી પ્રવૃતિ સમાજ સેવા બની ગઈ. મારી સાથે ૮૨-૮૫ વર્ષની બે બહેનો પોતે કાર ચલાવી રમવા આવતી. દીકરીના પરિવાર સાથે રહેતાં હોવાથી મારે ઘરે આવવું તે આશીર્વાદરૂપ હતું. બીજી બહેનો સાથે મિત્રતા જામતી ગઈ. નિયમિત મળવાથી મૈત્રીભાવે સુખ-દુઃખની વાતો સરળતાથી કરતાં અને જરૂર પડ્યે મદદ માંગતા. એમ કરતાં દસ વર્ષના અંતે બીજા મોટા બ્રિજ ગ્રુપમાં પરિચય-મિત્રતા વધતી ગઈ છે. બધા જ white-Americans છે. મારા પુસ્તકો અંગ્રેજી/ગુજરાતીમાં અને પછી બે અંગ્રેજી નવલકથા…પ્રકાશિત થતાની સાથે જ…કહું તે કિંમતથી સામેથી માંગીને બહેનો ખરીદી લેતી. આ મોટો તફાવત મેં જોયો. આપણા લોકો ડોલરનું નામ પડે કે ચોપડી ગરમ હોય તેમ નીચે મૂકી દે…આપણને પુસ્તક ભેટ આપવામાં વાંધો નથી, બસ જો, ખરીદવા જેટલો રસ બતાવે.
અરે! આજે હ્યુસ્ટનથી પ્રિતાનો ફોન આવ્યો, “સરયૂબેન, હું બરાબર છું. મારા દિકરાને એવોર્ડ મળ્યો તેનો ફોટો મોકલું છું.” બે વર્ષ પહેલાં, પ્રિતાને કોઈએ મારો નંબર આપ્યો ત્યારે તેનો રડતો ફોન આવ્યો હતો. નણંદ અને સાસુ તેના છ વર્ષના દીકરાને અળગો કરવા, પ્રિતાને ઘરકામમાં વ્યસ્ત રાખતાં અને પતિ તેણી નોકરી કરી ડોલર આપતી રહે, તેવી જબજસ્તી કરતો હતો. ઝગડો સાંભળીને દીકરો વ્યાકુળ રહેતો કે મા ઘર છોડી જતી રહેશે!! પ્રિતાએ એક વાર પોલીસને પણ બોલાવી હતી.
મેં તેને પ્રથમ શાંત અને શક્તિમાન વર્તન રાખવા કહ્યું. મારી જૂની ઓળખાણવાળા કાર્યકરોને પ્રિતાની દશાથી વાકેફ કરી, તેને રાત-દિવસ…જ્યારે પણ જરૂર હોય ત્યારે મદદ મળી શકે તેવી વ્યવસ્થા કરી આપી. પ્રિતા બે-ચાર મહિને મને પોતાના જીવનની સ્થિરતાના સમાચાર આપતી રહે છે. સ્ત્રી ફૂંફાડો બતાવે ત્યારે સામેનાં આપમતલબી-અવિચારી પાછા પડી જાય છે.
જીવનમાં મુશ્કેલી કોને ગણવી? મારી વ્યાખ્યા બહુ સરળ રહી છે. જેમ કે, ઘર છોડી નાની હોડીમાં ભાગવું પડે…કે એવી કોઈ હાડમારી થઈ હોય તેને. બીજી બધી મુશ્કેલીઓ નાની લાગે તેથી આજે સાતમાં દસકાથી પાછળ નજર કરતાં…પ્રેમ અને પ્રસન્નતા નજરે પડે છે. આમ જુઓ તો દરેક દસકે જાણે મારું કર્મ અનાયાસ બદલાતું રહેતું દેખાય છે.
દસકામાં વિભાજન
અવિરત આ જીવનમાં દસકાનું દર્પણ,
પ્રતિબિંબ અલગ કર્મ ક્ષેત્રને સમર્પણ.શિશુકાળ પ્રેમાંગણ હસી ખીલ્યાં ચાતુર,
બીજા દાયકામાં, ચિત્ત ઉત્સુક ને આતુર.ત્રીજા દસકામાં જીવન પૂર્ણ કળા ખીલ્યું,
ચોથામાં, ફૂલ મધુ ફળ બની વિલસ્યું.પંચમ દસકામાં, અનુભવથી ગંભીર,
સેવા સમર્પણ ધ્યાન અંતર મંદિર.છઠ્ઠા દસકામાં, પૌત્ર પૌત્રીની સંભાળ,
અદભુત આ આજ ગુંથે કાલની ઘટમાળ.ગયા દાયકાઓ, પરછાઇ હું નિહાળું
પળની કોઇ પરિમલમાં મનને ઝબોળું
એક એક કર્મને મેં પૂર્ણતાથી માણ્યું,
શાંતિ–સંતોષ, સહજ એ જ મહેનતાણું.
નિવૃત્તિની તૈયારી ચાલીસીથી થઈ ગઈ હતી. અમારાં બાળકો કોલેજમાં ભણવાં ગયાં ત્યારથી અમે બંને રોજ એકાદ કલાક રજનીશ કે બીજા મહાગ્રંથો સાથે વાંચતાં. અમારા પ્રિય મોટા ભાઈ, કિરીટભાઈ ભારતથી આવે ત્યારે સવારના નાસ્તા પછી બાર વાગ્યા સુધી અને સાંજે પણ, પાતાંજલી અને ગીતાનો અભ્યાસ કરવા બેસી જતાં. આમ મારો અને દિલીપનો માનસિક વિકાસ સમાંતર થયો. તેનો કૃષ્ણમૂર્તિ અને scientific spiritualityમાં અભ્યાસ મારા કરતા ઘણો વધારે છે. તેની ચિત્રકલા અને મારા સાહિત્ય સર્જનમાં એકબીજાને રસ અને સમજ, તેથી સખત ચકાસણી થતી રહે છે. શાસ્ત્રીય સંગીત નિયમિત સાથે સાંભળવું એ પણ અહોભાગ્ય છે. સહજીવનમાં સ્વતંત્રતા અને સંવાદિતાનું સંતુલન અમુક અંશે લાવી શક્યા છીએ.
હું વતન માટે હજુ સુધી મોટી સેવા નથી કરી શકી તેનો વસવસો છે, તે આવતા વર્ષોમાં દૂર કરીશ. અંતમાં તો, આપણી નાની દુનિયા…જ્યાંથી આત્મસુખનો ઉદય – વિલય થયા કરે. આપણા સ્વજનો સાથેનું વર્તન-પ્રતિવર્તન (action-reaction) જીવન વ્યવસ્થા નક્કી કરે છે. આપણે નસીબ કે સંજોગોનો અનુકૂળતા પ્રમાણે આધાર લઈએ, પરંતુ પોતાની બુદ્ધિશક્તિ પ્રમાણે આપણી જીવન કેડી આલેખાય છે. સાથી સાથે સંવાદિતા હોય તો જીવનમાં અસાધ્ય સંઘર્ષ ‘નથી આવ્યો’ તેવી લાગણી થાય.
જીવન સાઇકલ
જીવન કેરી સાઇકલના, હું ને તું બે પૈડા,
એકમેકની આગળ-પાછળ સંગાથીના હઇડા.રોજ રોજની રામાયણમાં મુજને ટેકો આપે,
વેરાયેલી લાગણીઓને તું સંકોરી રાખે.ચઢાણ ઊંચું, ખડબડ રસ્તો, જ્યારે મુશ્કેલ લાગે,
ઉતાવળે જો આગળ ખેંચું, બ્રેક દઈ સંભાળે.ખેંચતાણ ને અડતલ સમતલ પૈડા ફરતાં જાયે,
કસીકસીને સો ટચ સોનું મને કરી ઝળકાવે.———
સમાપ્ત
હવે પછી…રેખા સિંધલઃ શૂન્ય થી અનંતની સફર -
ઘાસિયા મેદાનોના સંરક્ષક: પટ્ટાઈ (હેરિયર)
પ્રકૃતિની પાંખો
હીત વોરા
તમે કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં હોવ કે પછી ભાવનગરના વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં અથવા તો રાજકોટ-ગોંડલ વચ્ચે આવેલી કોઈક વીડીમાં થી પસાર થતા હોવ, પહેલી નજરે ઘાસના મેદાનો ખાલી લાગે. કોઈ ઊંચા વૃક્ષો નહીં, કોઈ સ્પષ્ટ હલનચલન નહીં, આંખને પકડવા માટે કંઈ નાટકીય ન મળે. પરંતુ જો તમે થોડા સમય માટે સ્થિર રહી અવલોકન કરો તો ઘાસિયા મેદાનો ની સાચી સુંદરતા તમને સમજાય. વહેલી શિયાળા ની સવારે કુંજના ટોળે ટોળા કલરવ કરતા ઘાસના બીજનો ખોરાક લેવા આવતા હોય, નાની નાની લાર્ક અને પીપીટ ટોળામાં જમીન પર ખાવાનું શોધતી હોય, તળાવમાં અને કિનારે બતક, કાકણસાર અને ઢોંક બેઠા હોય ત્યારે અચાનક એક પડછાયો ઘાસના મેદાન પરથી નીકળે અને બધા જ પક્ષીઓ ઊડવા લાગે, બધા બતક ઉડી ને જગ્યા બદલી લે, લાર્ક અને પીપીટ ખુલ્લા મેદાન ત્યજી ઘાસમાં સંતાઈ જાય, નાના પક્ષીઓ માટે આ બિહામણો પડછાયો એક અનન્ય પ્રજાતિના શિકારી પક્ષી હેરિયરનો (Harrier) છે! હેરિયરને ગુજરાતીમાં “પટ્ટાઈ” કહેવા માં આવે છે કારણ કે મોટા ભાગના હેરિયર પ્રજાતિના પક્ષીઓની માદાના શરીરના પેટના ભાગ અને પાંખ પર પટ્ટા જોવા મળે છે!
બાકી શિકારી પક્ષીઓથી હેરિયર અલગ છે કારણ કે તે શિયાળો પસાર કરવા ઘાસિયા મેદાનો અને જળ પ્લાવિત ક્ષેત્રો જ પસંદ કરે છે. આકાશમાંથી ડાઇવ મારતા બાજ અથવા ઉપર ઉંચે ઉડતા ગરુડથી વિપરીત, હેરિયર્સ ઊડતા સમયે જમીનની નજીક રહે છે અને ગ્લાઇડ કરતા કરતા તેમની નીચેના મેદાનની દરેક ઇંચ સ્કેન કરે છે. હેરિયર્સનું મુખ ઘુવડ જેવું ડિસ્ક આકારનું હોય છે જેથી ઘાસમાં થતી નાની હલન ચલનનો અવાજ પણ તેમને સંભળાઈ જાય અને તેના શિકાર ને તે જોયા વિના પણ ડાઇવ મારી પકડી શકે છે. હેરિયર્સની આજ લાક્ષણિકતાઓ તેને નાના પક્ષીઓ અને કીટકોનું બિહામણું સપનું અને ઘાસિયા મેદાનોનો ખૂબ જ સફળ શિકારી બનાવે છે.
ગુજરાતના ઘાસિયા મેદાનોમાં દર શિયાળે વિવિધ હેરિયર પ્રજાતિઓ મહેમાન બનીને આવે છે. તેમાં મુખ્યત્વે નીચેની પ્રજાતિઓ જોવા મળે છે:
Western Marsh Harrier (પાન પટ્ટાઇ)

Western Marsh Harrier (પાન પટ્ટાઇ) આ હેરિયર્સ સૌથી મોટા અને સમગ્ર ગુજરાતમાં સૌથી કોમન જોવા મળે છે. તેની ઓળખાણ ચોકલેટી બ્રાઉન રંગ અને અલગ પડતું આછા કેસરી રંગના માથાથી થાય છે
માર્શ હેરિયર સામાન્ય રીતે શિયાળામાં જળાશયો, ડેમ, ઘાસિયા મેદાનો અને તેની આસપાસના વિસ્તારોમાં સહેલાઈથી જોવા મળે છે. તે કીટકોથી અને નાના પક્ષીઓથી માંડી ફ્લેમિંગો અને કુંજનો પણ શિકાર કરે છે.
Montagu’s Harrier (પટ્ટી પટ્ટાઇ)

Montagu’s Harrier (પટ્ટી પટ્ટાઇ) કદમાં નાનું હેરિયર. નરનું શરીર આખું સફેદ હોય છે, માથું ગ્રે અને આંખ ચમકદાર પીળા રંગની હોય છે અને પાંખ પર કાળા પટ્ટા જોવા મળે છે. નર પક્ષી ખૂબ જ દેખાવડા લાગે છે. માદા પક્ષી ભૂખરા રંગ ના હોય છે અને તેમને પાંખ અને પેટના ભાગ પર આડા કાળા પટ્ટા હોય છે! મોનટાગુના હેરિયર એક્રેડિવોર (acridivore) હોય છે, એટલે કે ફક્ત તીડ અને તિત્તીધોડાઓનો જ શિકાર કરી ખાય છે! આ કારણથી તેની હાજરીથી ઘાસિયા મેદાનોમાં તીડની સંખ્યા પર કાબૂ રહે છે.
Pallid Harrier (ઉજળી પટ્ટાઇ)

Pallid Harrier (ઉજળી પટ્ટાઇ) નર પેલીડ હેરિયર આખું સફેદ હોય છે તેનું શિર દૂધ જેવું સફેદ હોય છે. તેની સફેદ પાંખ જ્યાં પૂરી થાય ત્યાં જ ખાલી કાળા ડાઘ હોય છે! પક્ષીપ્રેમીઓ દ્વારા નર પેલીડ હેરિયરને તેની આકર્ષક અને સૌમ્ય દેખાવ માટે ખાસ પસંદ કરવામાં આવે છે. માદા પેલીડ હેરિયર ભૂખરા રંગ ની હોય છે અને તેને ગળા પર વ્હાઇટ કોલર હોય છે જે તેને મોન્ટાગુના હેરિયરની માદાથી જુદી પાડે છે. પેલીડ હેરિયર મુખ્યત્વે નાના પક્ષીઓ તથા કીટકોનો શિકાર કરે છે.
હેરિયર્સ ધીરજવાન શિકારી હોય છે. તેઓ ઘાસ ઉપર, નીચા ઉડે છે, ધીમે ધીમે આગળ વધે છે અને નીચેની જમીનને તપાસે છે. પીછો કરવાને બદલે, તેઓ ચોકસાઈ પર આધાર રાખે છે – સહેજ પણ હલનચલન પરખે છે અને યોગ્ય સમયે પ્રહાર કરે છે.
જેમ જેમ સાંજ નજીક આવે છે, તેમનું વર્તન બદલાય,
ઘાસના મેદાનના વિવિધ ભાગોમાંથી, હેરિયર્સ એક જગ્યાએ ભેગા થવાનું શરૂ કરે, એક પછી એક, તેઓ ઘાસમાં બેસી જાય અને અદૃશ્ય થઈ જાય છે. આમ સામુહિક રુસ્ટિંગ (રાતનો સમય પસાર કરવા ભેગા રહેવું) સંખ્યામાં સલામતી પ્રદાન કરે છે.
હેરિયર ખાલી તેમના શિકારની સંખ્યાને નિયંત્રણમાં રાખવા સિવાય પણ પ્રકૃતિમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. ભલે સાંભળવામાં અજુગતું લાગે પણ હેરિયર્સ ઘાસના બીજનો ફેલાવ કરી ઘાસિયા મેદાનની તંદુરસ્તી જાળવવા અને પતિત થયેલા ઘાસિયા મેદાનોનું પુનઃસ્થાપન કરવામાં મદદ કરે છે! ચાલો જાણીએ કેવી રીતે;
હેરિયર્સ લાર્ક જેવા નાના પક્ષીઓનો શિકાર કરે છે, જે ઘાસના બીજ ખાય છે- આ બીજ હેરિયરની ચરક દ્વારા ફેલાય છે. તેમની ઊર્જા જરૂરિયાતને પૂર્ણ કરવા માટે, હેરિયરને આવી ઘણી લાર્કનો શિકાર કરવો પડે છે. આ કારણે, એક લાર્ક પોતાની ચરક દ્વારા જેટલા બીજ ફેલાવે તે કરતાં વધારે બીજ નો ફેલાવ કરવાની ક્ષમતા એક હેરિયર ધરાવે છે.
અને હેરિયર્સ લાંબા અંતરની મુસાફરી કરતા હોવાથી, આ બીજ ફક્ત નજીકમાં જ નથી પડતા, તે સંપૂર્ણપણે નવા ઘાસના મેદાનો સુધી પહોંચી શકે છે.
ઉદાહરણ તરીકે, પંજાબ અથવા રાજસ્થાનના ઘાસિયા મેદાનમાં લાર્કનો ખોરાક લઈ એક હેરિયર સેંકડો કિલોમીટર આગળ વધી શકે છે અને બીજા પ્રદેશમાં આરામ કરી શકે છે. આ પ્રવાસમાં, તે એક ઘાસના મેદાનમાંથી બીજને સંપૂર્ણપણે અલગ ઘાસના મેદાનમાં લાવી શકે છે. આ મિશ્રણ ઘાસની આનુવંશિક વિવિધતામાં વધારો કરે છે, જે સમય જતાં તેમને મજબૂત અને વધુ અનુકૂલનશીલ બનાવે છે.આ રીતે, હેરિયર ઘાસના મેદાનોને પુનઃસ્થાપિત કરવામાં અને તાજગી આપવામાં પણ મદદ કરે છે.
કેવી અચરજની વાત છે કે એક શિકારી પક્ષી શિકાર કરી જીવ લે છે (જેને આપણે નકારાત્મકતા સાથે જોડીએ છીએ), તે જ ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમને જાળવવામાં અને તેના પુનઃસ્થાપનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
આપણે હજુ પણ ઘાસના મેદાનોને સમજવામાં નિષ્ફળ જઈએ છીએ, ઘણીવાર તેમને બંજર મેદાન (wasteland) કહી તેમની અવગણના કરીએ છીએ. પરંતુ તે જીવંત, જટિલ અને આવશ્યક છે. આ લેખનો ઉદ્દેશ્ય એ જ છે કે સામાન્ય માણસો પણ આપણી આસપાસ રહેલી પ્રકૃતિની સુંદરતા સાથે તેની જટિલતા અને જરૂરિયાત સમજે અને તેને બચાવવા માટે સક્ષમ બને.
શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
નિસબત
ચંદુ મહેરિયા
યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(યુ એસ એ) માં રોજ ૯ લોકો પાણીમાં ડૂબી જાય છે. તે પૈકી ૬ કાળાઓ હોય છે. ૫ થી ૧૪ વરસના આફ્રોઅમેરિકી બાળકોનો પાણીમાં ડૂબવાનો દર ગોરા બાળકોની તુલનામાં ૨.૬ ગણો વધારે હોવાનું અમેરિકી રોગ નિયંત્રણ કેન્દ્ર જણાવે છે. અમેરિકી એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સના અભ્યાસનું તારણ છે કે શ્યામવર્ણી કિશોરોની સરખામણીએ બિનશ્યામ કિશોરોની પાણીમાં ડૂબી જવાની સંભાવના આઠ ગણી વધુ છે. યુનાઈટેડ કિંગડમ(યૂકે) ની શાળાઓમાં સ્વિમિંગ પાઠયક્રમનો અનિવાર્ય હિસ્સો છે. તેમ છતાં ત્યાં ૨૦૨૨માં ૯૫ ટકા મોટા અને ૮૦ ટકા નાના શ્યામવર્ણીઓ તરી શકતા નહોતા. અમેરિકાની વિલિયમ્સ કોલેજમાં ૨૦૧૩ થી ૨૦૧૯ દરમિયાન લેવામાં આવેલી ૫૦ યાર્ડની સ્વિમિંગ ટેસ્ટમાં ૮૧ ટકા કાળાઓ નાપાસ થયા હતા. પુખ્ત ઉમરના ધોળાઓ કરતાં પાંચ ગણા વધુ કાળાઓ પાણીમાં તરી શકતા નથી.
વંશીય ભેદ અને અસમાનતા કેવા કેવા સ્વરૂપમાં હોય છે તે જાણીને નવાઈ લાગે છે. વળી તે સાચી છે તેની ખાતરી થતાં આઘાત સાથે શરમ અનુભવાય છે. પાણીમાં તરવું તે સામાન્ય બાબત લાગે છે. ભારતના ગ્રામ્ય પ્રદેશમાં જ્યાં દરિયો, નદી, નાળા, નહેર, તળાવની સગવડ છે ત્યાં બાળવયથી જ ખાસ કશી તાલીમ વિના લોકો નહાય છે અને થોડું તરવાનું કૌશલ્ય હાંસલ થતા એયને ધૂબાકા મારે રાખે છે. પાણીના આ જાહેર સ્ત્રોત પર જ્ઞાતિ ભેદ જરૂર છે અને તે પ્રમાણેના ઓવારા પણ જોવા મળે છે પરંતુ તરવાનું કૌશલ્ય હાંસલ ન કરી શકે તેવો ભેદ વંશીય અસમાનતાને કારણે અમેરિકા-બ્રિટનન્ની કાળી પ્રજા સાથે આચરાયો છે.
ઈ.સ.૧૮૦૦ થી ૧૯૩૦ના દાયકાઓમાં અમેરિકામાં સ્વિમિંગ પૂલ બનાવવાની હોડ મચી હતી. સ્થળાંતરિત ગરીબોની વસ્તીમાં પણ તે બનતા જોવા મળ્યા હતા. પણ બ્લેક વસ્તીમાં તે જોવા મળતા નહોતા. ૧૯૩૦ના દાયકામાં અમેરિકાના સેન્ટ લુઈસ શહેરની વસ્તીમાં બ્લેક વસ્તી ૧૫ ટકા હતી.પરંતુ આટલી મોટી વસ્તીમાં માંડ એક જ સ્વિમિંગ પૂલ હતો. તે પણ જર્જર અને અસ્વચ્છ. દક્ષિણ અમેરિકામાં જિમ ક્રો કાનૂનોએ સ્વિમિંગ પૂલ અને સમુદ્ર તટો પર રંગભેદ અનિવાર્ય કર્યો હતો. ઉત્તર અમેરિકાના પિટ્સબર્ગ જેવા શહેરોમાં કાળા-ગોરા વચ્ચે તરવાની જગ્યામાં ભેદ નહોતો.પરંતુ જો કોઈ ધોળા બાળકો કાળા તરતા હોય તે જગ્યાએ તરવા આવે તો પોલીસ મારીને ભગાડી મૂકતી. વળી કાળાઓ તરી ન શકે એટલે તરવાની જગ્યાઓમાં કચરો નાંખતા અને તેથી આગળ વધીને એસિડ પણ ફેંકતા હતા. ૧૯૪૯માં સેન્ટ લુઈસ શહેરમાં કાળાઓ તરતા હતા ત્યાં ગોરાઓએ હુમલો કર્યો હતો. એટલે શ્યામવર્ણી વસ્તીમાં સ્વિમિંગ પૂલની સગવડો ન આપવી અને જ્યાં સગવડો છે તેવી ધોળી વસ્તીના સ્વિમિંગ પૂલમાં કાળાઓને પ્રવેશ ન આપવો તેને કારણે અમેરિકાની આફ્રોઅમેરિકી પ્રજા તરવાના કૌશલ્યથી વંચિત રહી હતી.
શ્યામ પ્રજા કોઈ જૈવિક અક્ષમતાને કારણે પાણીમાં તરવાથી દૂર રહી હોઈ એવું નહોતું . ઐતિહાસિક અસમાનતા, વંશીય ભેદભાવ, પ્રવેશ પર રોક, અલગાવ (SEGREGATION) અને સંસાધનોની અછત જ કારણ હતું. પરંતુ ધોળિયાઓ કાળાઓને તરણથી દૂર રાખીને તેમના દૂર હોવાના કારણ તરીકે તેમની શારીરિક અક્ષમતાને આગળ કરતા હતા. કાળાઓના હાડકાં લચીલા નહીં પણ સપાટ હોવાથી, પાણીમાં તરવા જરૂરી ઉછાળ (Bounce) નો અને શરીરમાં ચરબીનો અભાવ હોવાનું કારણ જણાવતા હતા. બ્લેક મહિલાઓ તેમના વાળ અને હેર સ્ટાઈલની બહુ દીવાની હોય છે અને તરવાને કારણે ભારે ખર્ચ અને માવજતથી તૈયાર કરેલા વાળ બગડી જાય છે એટલે તે તરણથી દૂર રહે છે છે તેવું કારણ પણ આગળ કરાતું હતું. આ રીતે તેઓ અસમાનતા અને વંશીય ભેદના કારણોને ઓછલ કરી દેતા હતા.

૧૯૫૨માં ૧૭ વર્ષની મૅમી લિવિન્ગસ્ટને બાલ્ટીમોર, મેરીલૅન્ડમાં, જાહેર સ્વિમિંગ પુલમાં પ્રવેશ માગીને વંશીય અલગાવ સામે અવાજ ઉઠાવ્યો Photograph: Mamie Livingston
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીઆજના આફ્રોઅમેરિકીઓના વડવાઓને જ્યાંથી ગુલામો તરીકે લાવવામાં આવ્યા હતા તે આફ્રિકામાં તરણની સમૃધ્ધ સાંસકૃતિક વિરાસત છે. એટલે તેઓ જાતે કે શરીરની નબળાઈથી તરણથી દૂર રહ્યા હોવાની વાત માની શકાય તેવી નથી. ૧૬૭૯માં માર્ટિનિકના કિનારે ગુલામોને લઈ જતું જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યારે એક અનામ આફ્રિકન ગુલામ ૬૦ કલાક દરિયામાં તરીને કિનારે પહોંચ્યો હતો. ૧૮૩૧માં ટાઈસ ડેવિડ નામનો ગુલામ કેંટકીથી ભાગીને ઓહિયા નદી તરીને ઓહિયા પહોંચ્યો હતો. સાવ નજીના ભૂતકાળમાં ક્લેન જોન્સ અને એન્ટની એરવિન નામક બે બ્લેકે ૨૦૧૨ની ગ્રીષ્મ ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં ભાગ લીધો હતો. હવે જોન્સે વંચિત સમુદાયના લોકોને તરવાની તાલીમ આપવાના કાર્યને જીવનકાર્ય બનાવ્યું છે.
છેક વીસમી સદી સુધી અમેરિકા- બ્રિટનમાં શ્યામ વર્ણી પ્રજાને તરવાના આનંદથી દૂર રાખી હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે.અમેરિકાના તરણ મંડળો અને તરણ સ્થળોમાં કાળાઓની હાજરી વર્તાવા માંડી છે. બ્લેક પુરુષો જ નહીં બ્લેક મહિલાઓ પણ છેક ઓલિમ્પિક સુધી સ્વિમિંગમાં ભાગ લે છે અને જીતે છે. ભારતમાં જ્ઞાતિભેદ અને આભડછેટને દૂર કરવામાં સરકાર અને સમાજનું ખાસ યોગદાન જોવા મળતું નથી પરંતુ યૂકે-યુએસએમાં એવું નથી. અમેરિકામાં સ્વિમિંગ ટેસ્ટમાં તેની વંશીય અસમાનતા બહાર આવતાં વોશિંગ્ટન, વિલિયમ્સ, લી અને હિમિલ્ટન યુનિવર્સિટી સહિતની જાણીતી શિક્ષણ સંસ્થાઓએ છેલ્લા કેટલાક વરસોથી સ્વિમિંગ ટેસ્ટ લેવાની બંધ કરી દીધી છે.
સ્વિમિંગ કે તરણના જ્ઞાન સુધીની કાળાઓની પહોંચ અને અસમાનતા ખાળવા અધિક સમાન સમાજ બનાવવા માટે હજુ ઘણી પેઢીઓની સમાનતાની જરૂર છે. કાળા માતા-પિતા ખાસ કરીને માતાઓમાં તરણ કૌશલ્ય ભેદભાવને કારણે આવ્યું નથી તેથી તેઓ પોતાના સંતાનોને પાણીથી અને એટલે તરવાથી દૂર રાખે છે.તેમનો આ ડર દૂર કરવાના મનોવૈજ્ઞાનિક પ્રયત્નો શરૂ થયા છે. સ્વિમિંગનો આનંદ જે સૌ માટે સમાન ધોરણે ઉપલબ્ધ નહોતો તેને મોટાપાયે ઉપલબ્ધ કરાવવાની આવશ્યકતા છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં સામાજિક અને ઐતિહાસિક કારણોથી શ્યામ પ્રજાને તરવાથી દૂર રાખી હતી હવે તેની આ ક્ષેત્રમાં ભાગીદારી વધે તે માટે બમણા જોરથી લાગી જવાનું છે. સ્વિમિંગને પાઠ્યક્રમમાંથી દૂર કરવાનું કે સ્વિમિંગની ટેસ્ટ પડતી મૂકવાનું હાલના સમય સંજોગોમાં કદાચ વાજબી હોઈ શકે પણ કાળા-ગોરાના ભેદ સિવાય સૌ સમાન ધોરણે તરવાનો અને જીવવાનો આનંદ મેળવતા થાય તેવો સમાજ આપણે ઘડવાનો છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સંભારણું – ૧૪ – ૨૦૨૩ની વિદાય
શૈલા મુન્શા
વડોદરા આવીને રહેતાં ત્રણ વર્ષ પસાર થઈ ગયાં. સમય એની રફતારે જ આગળ વધતો હોય છે, પણ આપણને કાયમ ઝડપથી વીતી ગયો હોય એમ જ લાગે છે.
૨૦૨૩ના એપ્રિલમાં અમે ભારત આવ્યાં. વતન તો એ જ હતું પણ ઢળતી ઉંમરે અમેરિકા છોડી પાછા આવી રહેવું સરળ પણ નહોતું.
૨૦૨૩ બસ ચંદ દિવસનું મહેમાન હતું. વરસ શરૂ થાય અને જોતજોતામાં પુરું, પણ એની ઝોળીમાં અગણિત યાદોનાં મોતી છુપાયેલા હોય છે. અમારાં હ્યુસ્ટનના મિત્ર સતીશભાઈના જન્મદિવસની પાર્ટીમાં જવાનું થયું. દર વર્ષે એમની વડોદરાની મુલાકાત નક્કી. બે ત્રણ મહિના વતનની મોજ માણે અને એમ દિલમાં વતનને સતત ધબકતું રાખે.
એમને મળતાંની સાથે જ હ્યુસ્ટનની યાદથી દિલ મઘમઘી ઊઠ્યું!
૨૦૨૩ની શરૂઆતમાં અમે હજી હ્યુસ્ટનમાં જ હતાં પણ નિવૃત જીવન ભારતમાં, પોતાના દેશમાં વિતાવવાનું નક્કી કર્યું પણ એ એટલું સહેલું નહોતું. જીવનના અપ્રતિમ વર્ષો જ્યાં વિતાવ્યાં, કેટલાય સંબંધો વિકસાવ્યા એ બધું છોડી ભારત પાછા આવી નવેસરથી ઘર વસાવવાનું હતું.
મન પણ કેવું અજાયબ છે, વડોદરા આવ્યે છ મહિના થઈ ગયાં હતાં. બધું ગમવા માંડ્યું હતું સરસ રીતે ગોઠવાઈ ગયા હતાં પણ ભીતર હજી એક ખૂણો ખાલી લાગી રહ્યો હતો. સતીશભાઈ સાથેની મુલાકાત અને એ ખૂણો કેટકેટલી યાદોથી ઝગમગી ઊઠ્યો!!
આજે આ કલમ ચાલી રહી છે, થોડીઘણી એક લેખિકા કવયિત્રી તરીકે ઓળખ મળી રહી છે, એ કેટલાય જણને, અને એક સાહિત્યસભર અસ્ખલિત વહેતી ગુજરાતી સાહિત્યસરિતાને આભારી છે. કેટલાય મિત્રો મળ્યાં અને સુખ દુઃખના સાથી બની રહ્યાં.

વિચાર લહેરી 
કમિટિનાં સભ્યો સાથે ઉષાબેન બીજી એવી મીઠી યાદ મારી બહેનના વર્ષો જૂના મિત્રોની જેમણે એ અજાણી ભૂમિ પર જ્યારે બહેન દૂર સાઉદી અરેબિયા હતી ત્યારે અમને સાચવી લીધાં, એમનામાંના જ એક ગણી બધા પ્રસંગો તહેવારોમાં સામેલ કર્યાં.
ત્રીજા જે મારા કાળજાનો ટુકડો બની રહ્યાં એ મારાં દિવ્યાંગ બાળકો. Houston School District માં મેં બાવીસ વર્ષ એ નિર્દોષ દિવ્યાંગ બાળકોને ભણાવ્યાં અને બદલામાં અખૂટ સ્નેહ, લાડ અને મમત્વ હું પામી. જીવન જીવવાની એક અનોખી રીત હું એમની પાસે શીખી સાથે જ જુદાજુદા દેશથી આવેલા મારા સહકર્મી સાથે પસાર થયેલાં એ દિવસો એ મસ્તી ક્યારેય ભુલાય એમ નથી.

સ્મરણોની કેડી પર આગળ વધતાં મારી લખેલી કેટલીક પંક્તિઓ યાદ આવી ગઈ.
સુખની ઘડી બહુ આવતી નથી,
ને આવે તો ઝટ ઓળખાતી નથી.
વીતી ક્ષણોની યાદ ભુલી ભુલાતી નથી,
ને આવનારી પળ કોઈથી રોકાતી નથી.કોઈ દુઃખમાં શોધે સુખ,
કોઈ સુખમાં શોધે દુઃખ,
માનવીની એ ઈચ્છા
હરદમ સંતોષાતી નથી.આવ્યું જો આ નવલું વર્ષ સામે,
સ્વાગત કરું હું એનું હર્ષ ઉલ્લાસે;
દિલથી કરું કામના વિશ્વશાંતિની,
મિટે શત્રુતા, જીત બસ માણસાઈની!!કહેવાય છે કે “ડુંગરા દુરથી જ રળિયામણા લાગતાં હોય છે અને The grass is always green on the other side of the fence.”
ભારત હતાં ત્યારે અમેરિકા જવાની તાલાવેલી હતી અને ત્યાં રહ્યાં પછી સગવડ સાથે થતી અગવડ પણ અકળાવતી. મસમોટા મકાનમાં બારી બહાર કોઈ માણસની શકલ જોવા મન તરસતું. આવી ઘણી બાબતો મનનો એક ખૂણો ખોતરતી રહેતી. મનનો એ અજંપો ચરમ સીમાએ ત્યારે પહોંચ્યો જ્યારે વય, અવસ્થા, તબિયતની નાજુકાઈએ વતન ફરી યાદ આવી ગયું અને બધું સમેટી ફરી માતૃભૂમિના શરણે બાકીની સફર પૂરી કરવાનો મનસુબો કરી લીધો.
બાળપણના સાથી તો ક્યારના તકાદો કરી રહ્યાં હતા અને મારી જ લખેલી કવિતા મને સંભળાવી રહ્યાં હતા.“મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
મિત્રોની મીઠી યાદ કદી વિસરાતી નથી!સંબંધો સહુ જિંદગીના થાય ભલે ઉપર નીચે,
કરી જે દોસ્તી એકવાર, ક્યારેય ભુલાતી નથી!રેતની એ લકીર નથી, ભુંસાય જે વાયરે,
મિત્રતાની ઈમારત કાળથી એ મિટાતી નથી!મળ્યા ન મળ્યા રોજ, રહ્યાં આઘા ભલે વર્ષોથી,
મળ્યા જે ક્ષણે, એ જ મસ્તી રોકી રોકાતી નથી!પહોંચ્યા ઉમરના એ મુકામે, કદી સાંપડે એકલતા,
વાતો દિલોની, મિત્ર વિના કોઈને કહેવાતી નથી!મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
મિત્રોની મીઠી યાદ કદી વિસરાતી નથી!!”આજે આ ૨૦૨૩ને વિદાય આપતાં એટલી જ પ્રભુ પ્રાર્થના છે કે નવું વર્ષ વિશ્વમાં માનવતાનો વાવટો લહેરાવે અને માનવીના દિલમાંથી નફરતના વિકરાળ રાક્ષસને નેસ્તનાબુદ કરે. અયોધ્યામાં રામમંદિરનું નવનિર્માણ થયું એવું રામરાજ્ય વિશ્વભરમાં ફેલાય એવી મનોકામના સહિત,
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
રાજકીય કોઠાઓને ભેદતું ઉખાણું: ભગતસિંહ
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
તે વીસમી માર્ચ આવું આવું હોય ત્યારથી ચિત્તનો કબજો મેઘાણીની આ યાદગાર પંક્તિઓ ન લઈ લે તો જ નવાઈ: ‘વીરા મારા! પંચ રે સિંધુને સમશાન રોપાણાં ત્રણ રૂખડાં હો… જી.’ આ રૂખડાં તે ભગતસિંહ, સુખદેવ ને રાજગુરુ.
હમણેનાં વરસોમાં ભગતસિંહનું નામ જરી જુદેસર ઊંચકાયેલું માલૂમ પડે છે. ભગવંત માનના નેતૃત્વ હેઠળ પંજાબમાં આપ સરકાર રચાઈ ત્યારે શપથવિધિ વાસ્તે એણે ચહીને ભગતસિંહના પૈતૃક ગામ પર પસંદગી ઉતારી હતી. સામાન્યપણે કોંગ્રેસ ને ભાજપમાં વહેંચાતા નકશા વચ્ચે પંજાબના સંદર્ભમાં આપ માટે ભગતસિંહની પસંદગી છે પણ સગવડભરી, કેમ કે ભગતસિંહ સરદાર ખરા પણ અકાલી દળ પ્રકારે બધ્ધ નહીં એવી રાષ્ટ્રીય ઓળખ એમની છે. આપ પંજાબથી ઊલટું, ભાજપ જે વિચારધારાકીય અખાડા ને નિંભાડાની પેદાશ છે એના પૂર્વસૂરિઓની મુશ્કેલી એ છે કે સ્વરાજ સંગ્રામ સાથે એમનો સીધો સંબંધ બધો વખત જડતો નથી. વ્યક્તિગત અપવાદકિસ્સા હશે, હેડગેવાર ૧૯૩૦માં સત્યાગ્રહમાં જોડાયાનું પ્રમાણ પણ છે, પણ સામાન્યપણે એક વિચારધારા તરીકે તેમ સંસ્થાકીય રીતે સ્વરાજ સંગ્રામ સાથે એનું અંતર રહ્યું છે. હવે સત્તા સંધાન સાથે પશ્ચાદવર્તી ધોરણે એ જોડાવાની કોશિશ કરે છે ત્યારે એણે પોતાના સંઘાડા બહારની પ્રતિભાઓને કો-ઓપ્ટ કરીને રોડવવું પડે છે.
આ સંજોગોમાં એક વિલક્ષણ સ્થિતિ પેદા થાય છે. સ્વરાજ સંધાનની લાયમાં ગાંધી-નેહરુ-પટેલ એ અનન્ય ત્રિપુટીમાંથી પટેલને જુદા પાડી પોતાના જાહેર કરવા પડે. નેહરુને તો સમજો કે ઝૂડવાનું ફાવે પણ ગાંધીને સરવાળે એળે નહીં તો બેળે સાચવી લેવા પડે. ગાંધીહત્યાને મુદ્દે સાવરકરની સંદિગ્ધ છબી સવાલો જગવે, એ સંદર્ભમાં સુભાષબાબુને ઓળવી લેવું તેમ ભગતસિંહનેય બોટી લેવું કંઈક સરળ ખરું. વળી બંને ગાંધીથી જુદી પડતી પણ રાષ્ટ્રીય સ્વીકૃતિપ્રાપ્ત પ્રતિભા પણ ખરી. ભગતસિંહના વીરમૃત્યુ મુદ્દે રાષ્ટ્રવાદી હઈલોજંબેમાં જોડાઈ તો જવાય, પણ ઘડીક રહીને વિચારધારાકીય રૂખનો કોઠો કમબખ્ત ભેદ્યો નયે ભેદાય.
૧૯૩૧માં ભગતસિંહની જે વીરપ્રતિમાથી લોકમાનસ ખાસું ખેંચાયેલું હતું, તેની સામે પછીનાં વર્ષોમાં ઉત્તરોત્તર એમની જેલનોંધ આદિ બહાર આવતાં જે છબી નિખરતી ગઈ એને અને ભાજપને લગભગ છત્રીસનો સંબંધ છે. આર્થિક-સામાજિક પરિવર્તનનો એક ઉદ્દામ કાર્યક્રમ અને માર્ક્સવિચાર સાથેની છબી જેમ જેમ સ્પષ્ટ થતી જાય તેમ ભાજપ સવાલિયા દાયરામાં મૂકાતો જાય. ભગતસિંહનું ઉખાણું નવરાશે છોડાવવા જેવું છે. ‘વંદે માતરમ્’થી ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ લગીની સમુત્ક્રાન્તિના એ ઈતિહાસપુરુષ છે. એમણે ‘રાષ્ટ્ર’માં બધ્ધ ન રહેતાં નીરક્ષીર વિવેકનો જે નિકષ વિકસાવ્યો છે એ સમજવા જેવો છે.
યુવા ભારત સામે ત્યારે બે નેતાઓ હતા- નેહરુ ને સુભાષ. આમ તો ભગતસિંહની સશસ્ત્ર મૂરત જોતાં એમને સારુ આઝાદ હિંદના ફોજના ભાવિ નિર્માતા સુભાષ પ્રથમ પસંદગી હોઈ શકે. પણ એમણે લખ્યું કે ભાવનાશાળી અને આદર્શવાદી બેઉ છે, પણ એકની જ પસંદગી કરવાની હોય તો હું જવાહરને પસંદ કરું. કારણ, સુભાષ ખાસા ઊર્મિલ છે અને વખતોવખત ભૂતકાળ માટેની એમની લાગણી ઉછાળા મારે છે. જ્યારે જવાહર નવા સમય સાથે ઉદ્દામ આર્થિક-સામાજિક કાર્યક્રમપૂર્વક કામ લઈ શકે એવી બૌદ્ધિક પ્રતિભા ધરાવે છે.
ગાંધી પરત્વે ભોમભીતર સુરંગ ને જાહેરમાં સ્વીકાર એવું જે દ્વિધાવિભક્ત વલણ જોવા મળે છે એમાં, બને કે, હાલના સત્તા-પ્રતિષ્ઠાનને ગાંધી ભગતસિંહને બચાવી ન શક્યા એ વાયકા હાથવગી લાગે. ૧૯૩૧ની 26મી માર્ચે વાઈસરોય ઈરવિને એમનાં વિદાયવચનોમાં કહ્યું છે તે સંભારી લઉં: અહિંસામૂર્તિ સમા ગાંધી શા સારુ એમનાથી સામા છેડાની વ્યક્તિઓ (ભગતસિંહ વ.)ની ફાંસીમોકૂફીની ભલામણ આ હદે ઊંડા દિલથી કરતા હશે એવો વિચાર મને સતત આવ્યો છે, પણ મને ફાંસીની સજા ફરમાવવા લાયક કેસનો આના જેવો બીજો દાખલો જડતો નથી.
ભગતસિંહને નહીં બચાવી શકાયાના મુદ્દે ગાંધી ટીકાપાત્ર લેખાયા છે. પણ નેહરુ-માલવિયાએ રજૂ કરેલ અંજલિ પ્રસ્તાવના સમર્થનમાં ભગતસિંહના પિતા કિશનસિંહ કહે છે, ‘છેલ્લી મુલાકાતમાં મને ભગતે કહ્યું હતું કે હું ભલે ફાંસીએ ચડું. મારી ચિંતા કરશો નહીં. પણ તમને આગ્રહપૂર્વક કહું છું કે તમે તમારા સેનાપતિનું (ગાંધીનું) પૂરું તાકાતથી સમર્થન કરો. કોંગ્રેસના નેતાઓને બરાબર સાથ આપો- તો જ સ્વતંત્રતા ફતેહ થશે.’ આ ઉદગારો સાથે, હેવાલ કહે છે, ગાંધી સામેનો કથિત રોષ કેમ જાણે આંસુમાં ફેરવાઈ ગયો.
સ્વાતંત્ર્યસંગ્રામના માર્ક્સવાદી ઈતિહાસકાર તરીકે સુપ્રતિષ્ઠ બિપીનચંદ્ર એમના આખર વરસમાં ભગતસિંહની જીવની પર કામ કરી રહ્યા હતા. એક મુલાકાતમાં એમણે પોતાના આકલનની વાત કરતા કહ્યું હતું કે થોડાં વધુ વરસ મળ્યાં હોત તો ભગતસિંહ એક અર્થમાં ગાંધીવાદી રૂપે મહોર્યા હોત. એમણે માર્ક્સવાદ છોડી દીધો હોત એવું હું નથી કહેતો. પણ એટલું ચોક્કસ સૂચવવા ઈચ્છું છું કે એમણે ગાંધીની ઢબે લોકઆંદોલન (અને સત્યાગ્રહ)ને માર્ગે કામ લેવું પસંદ કર્યું હોત. કોંગ્રેસ-ભાજપનું તો જાણે કે સમજ્યા પણ સ્વરાજનાં અમૃત વર્ષોમાં આપણે આપણા સ્વરાજલડતના વારસાને પાધરો સમજીએ તોયે ઘણું.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૮-૩-૨૦૨૬ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
વ્યંગ ગઝલઃ ……વિશે વાત કરો
વ્યંગ્ય કવન
હર્ષવી પટેલ
ઘર વિશે વાત કરો બહાર વિશે વાત કરોસાંકળે બેઉને એ દ્વાર વિશે વાત કરો.યુગ વિશે છોડોને! પળવાર વિશે વાત કરોરોકી લો કાળને, અત્યાર વિશે વાત કરોન કહો પહોંચી ગયા બાદ, છે મંઝિલ કેવી?પણ સફરના સહુ પડકાર વિશે વાત કરોતો કહો- ગીત વિશે, પ્રીત વિશે, મિત વિશેહરવખત આમ શું ચકચાર વિશે વાત કરો!તારી-મારી જો કરી એમાં સમજદારી શી?જો કરો આખા આ સંસાર વિશે વાત કરો!સૂર્યની માત્ર કથા કરશો તો રાત જ રહેશેશોધ છે તેજની? અંધાર વિશે વાત કરોજે પરોવ્યાં છે તમે મોતી એ રાખોને તમેપણ મને વીજના ચમકાર વિશે વાત કરો
સુશ્રી હર્ષવી પટેલ વ્યવસાયે શિક્ષિકા છે અને ગણદેવી તાલુકાના કેસલી ગામના વતની છે.
તેમની ગઝલોમાં મૌલિક્તા અને મઝાની ખુમારી હોય છે. તેઓ એક આજનો આગવો અને અસરકારક અવાજ છે..૨૦૨૫માં તેમને શયદા એવોર્ડ મળ્યો છે.
-
એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૮ મું.- કેસરીયાં
પ્રકરણ સાતમું. – છુપાં શસ્ત્રો થી આગળ
ઝવેરચંદ મેઘાણી
એક વખતનું ચુપચાપ પાડોશી જાપાન આસ્તે આસ્તે કોરીયાનું સલાહકાર બન્યું. વળી ધીરે રહીને મુરબ્બી બની બેઠું. જોતજોતામાં તો મુરબીશ્રીએ તોપો–તલવારો બતાવીને પોતાના આશ્રિતને પગ તળે ચાંપી દીધું. જગતને તો જાપાને એમ જ સમજાવ્યું કે આ બાપડી અજ્ઞાન પ્રજાને આબાદ કરવા, સંસ્કારી બનાવવા હું મહેનત લઉ છું.
આપણે જોયું કે એમ શાંતિથી, વિના બોલ્યે આ વીરપ્રજા વશ નથી થઈ ગઈ. ૧૯૦૭ ના ઘા જાપાન કદી નહિ ભૂલે. એ વરસમાં કોરીયાની સેનાને વિખેરી નાખતી વેળા, વીશ હજાર જાપાની યોધ્ધાઓની સામે, કોરીયાના સૈનિકો ઝુઝ્યા હતા, અને એક પણ સૈનિક રહ્યો ત્યાંસુધી પીઠ બતાવી નહોતી. લડવાનાં પૂરાં શસ્ત્રો પણ નહોતાં. એ વીશ હજાર અમાનુષી જાપાનીઓને એકેએક સૈનિકે પોતાનું લોહી પોવરાવેલું.
એ ઝપાઝપી તો છેક ૧૯૨૦ ની સાલ સુધી ચાલેલી. એ ‘ધર્મ સેના’ ની વાત આપણે વાંચી ગયા. કોરીયાની ભુજાનો જાપાનને અચ્છો પરિચય થઈ ચુક્યો હતો.
પણ કોરીયામાં એક ડાહ્યો વર્ગ મનન કરતો બેઠો હતો. એ શાણા પ્રજાજનો સમજતા હતા કે શસ્ત્રહીન કોરીયા જાપાનની તોપો–બંદુકો સામે ન ટકી શકે. એની મુરાદ તો એ હતી કે જાપાની તોપો–બંદુકો ઉખેડી નાખતા પહેલાં, જાપાની સંસ્કૃતિનું વિષ દેશના કાળજામાંથી કાઢવું પડશે, કોરીયાની પુરાતન સંસ્કૃતિની જગતને પિછાન દેવી પડશે, દેશે દેશના હૈયામાં અનુકમ્પા જગાડવી પડશે.
આ ધૈર્યવાન પુરૂષોએ આત્મ–બળ સજવા માંડ્યું.
મહાયુધ્ધે જગતમાં કઈ પ્રજાને નથી જગાડી ? વરસેલ્સના માંચડા પરથી છુટી નીકળેલા, અમેરિકન હાકેમના સ્વાધીનતાના સંદેશા કયા ગુલામને નથી પહોંચ્યા ? કોરીયાના મનોરથો પણ વીલ્સનનાં વાક્યોએ જગાડ્યા. કોરીયા પોતાને ઇન્સાફ મળવાની આશાએ આતુર બનીને બેઠું.
૧૯૧૮ માં દુનિયાએ હથિયાર હેઠાં મેલ્યાં, એટલે જાપાને કોરીયાની સમગ્ર પ્રજાની અંદર એક પત્રિકા ફેલાવી, અને તલવારની અણી બતાવી એ ઉપર સહી કરવા કહેવામાં આવ્યું. એ પત્રિકામાં શું હતું ? કોરીયાની પ્રજા તરફથી સુલેહની સભાને મોકલવાની એ એક અરજી હતી. કોરીયા તરફથી એમાં જણાવવાનું હતું કે “જાપાનની કૃપાળુ રાજસત્તાના અમે અહેશાનમંદ છીએ. અમે બન્ને મહાપ્રજાઓ અમારા નૃપતિ મીકાડોના છત્ર તળે એક બની ઉભાં છીએ. અમારે જુદી સ્વતંત્રતા નથી જોઈતી. અમને એ સિદ્ધાંત લાગુ પાડશો નહિ !”
સૈનિકોએ ખુલ્લી તલવારે આ અરજીખત ઉપર નામાંકિત પ્રજાજનોની સહી લીધી. પણ પેલા જરાગ્રસ્ત, જર્જરિત, અને આશાહીન રાજાએ કહ્યું કે “મારી નાખો, સહી કરીને મ્હારી પ્રજાને નહિ વેચી મારૂં ?” ૧૯૦૫ માં પોતે પોતાના પ્રાણ પ્રજાને ખાતર ન આપી શક્યો, એ વાત સંભારી સંભારીને રાજા રડતો હતો. એના મનમાં હતું કે “આજ તો એ મહાપાપનું પ્રાયશ્ચિત કરવા માટે પ્રાણનું બલિદાન આપી દઉં !”
જાપાનીઓએ રાજાને ઝેર દઈ તેનો જીવ લીધો. અપમાનથી ખરડાયેલો અને ઝીંદગીને હારી ગએલો વૃદ્ધ રાજા મૃત્યુને તો જીતી ગયો. જનની કોરીયા ! એનું અને એની બહાદૂર રાણીનું તર્પણ શું એળે જશે ?
રાજાના મરણની બીજી પણ એક વાત ચાલી હતી. કોરીયાનું વ્યક્તિત્વ આંચકી લેવા ખાતર જાપાને પોતાની કુમારી કોરીયાના યુવરાજની સાથે પરણાવવાનું કહેણ મોકલ્યું. યુવરાજ તો આનંદથી નાચી ઉઠ્યો. બુઢ્ઢો રાજા વિચારે છે કે હું હમણાંજ મરી જાઉં તો કોરીયાના રીવાજ પ્રમાણે ત્રણ વરસ સુધી વિવાહ નહિ થાય. અને ત્રણ વરસમાં શું કોઈ નહિ જાગે ? એમ સમજીને એણે વિષપાન કરી પ્રાણ કાઢી નાખ્યા. બેમાંથી ગમે તે વાત સાચી હોય, પણ રાજાનું મૃત્યુ તો ઉજ્જવળ બની ગયું.
રાજાજીના મરણના સમાચાર તો આગના ભડકાની માફક ચોમેર વિસ્તરી ચૂક્યા. ઝીંદગાનીની અંદર જે રાજા પ્રજાની પ્રીતિ ખોઈ બેઠો હતો તેના આવા પ્રાણ દાનથી પ્રજાનું અંતર પ્રેમમાં તરબોળ બની ગયું. જાપાની સરકારે તો રાજાના મૃત્યુની એના સરકારી છાપામાંયે નોંધ ન લીધી. શોકનો દિવસ પણ ન પાળ્યો, અને જાપાની રીત પ્રમાણે એનું દફન કરવાનું ઠરાવ્યું.
પ્રજા પૂછે છે, “અરેરે !એનું મડદું પણ અમને નહિ સોંપો ?”
જાપાની સત્તા કહે છે, “નગરના ગઢની બહાર કાઢ્યા પછી એ મુડદું તમને સોંપાશે.”
જીવતા જીવનું અપમાન ઓછું સાલે, પણ મુડદાનું અપમાન કોઈ પ્રજા નથી સાંખી શકતી. મૃત્યુની પવિત્રતા, ને ભવ્યતા કયા માનવીને અંતરે વસેલી નથી હોતી ?
કોરીયાવાસીઓના દિલ પર બહુ આઘાત થયો. પ્રજાએ વિચાર્યું કે દફનને દિવસે કાંઈક નવાજૂની તો કરવી જોઈએ. એક સમુદાય બોલ્યો કે “હવે તો હદ થઈ. આવો, જાપાનના એકે એક આદમીને રેંસી નાખીએ. દેશમાં અક્કેક જાપાનીનો જીવ લેવા સાઠ સાઠ દેશજનો જીવતા છે. એક વાર કતલ કરી નાખીએ. પછી ચાહે તે થાજો !”
પણ બીજો ડાહ્યો ને દયાવંત વર્ગ બોલ્યો, “આવી કતલથી તમે જગબત્રીશીએ ચડશો. જાપાન વધુ દારૂગોળો, ને વધુ નવા જુલ્મો લાવવાનું વ્યાજબી ઠરાવશે. આપણને જેર કરી નાખશે. આપણી આગળ હથિયાર કયાં ?”
સલાહ સ્વીકારાણી.
સ્વાધીનતાનું જાહેરનામું તૈયાર થયું. દેશના તેત્રીશ નાયકોએ એના ઉપર સહી કરી. એની નકલો ગામડે ગામડે ચુપચાપ પહોંચી, વંચાણી, ને મંજુર થઈ. દફનને દિવસેજ એ સંદેશો ગામેગામમાં પ્રગટ થવાનો હતો. ચુપાચુપ, બે કરોડ માણસોની અંદર આ તૈયારી થતી હતી. બે કરોડમાંથી એક બાલક પણ આ વાતથી અજાણ્યું નહોતું. છતાં આખા દેશમાં અદ્ભુત શાંતિ ! જાપાની કાગડો પણ ન જાણે કે શું થઈ રહ્યું છે.
જાપાનીઓને જરાક ગંધ આવી કે દફનને દિવસે કાંઈક થવાનું છે. દફનને દિવસે સભા ભરવાની જ મનાઈ થઈ. પ્રજાના આગેવાનોએ સોમવારને બદલે શનિવાર ઠરાવ્યો. જાપાની કૂતરૂં પણ આ વાત જાણી ન શક્યું. યશસ્વી શનિવાર આવી પહોંચ્યો. પેલા તેત્રીશ મરણીયા સરદારોમાંથી બે તો બહારની દુનિયાને ખબર પહોંચાડવા શાંગાઈ પહોંચેલા. બાકીના ત્રીશ બહાદુરો એક નામાંકિત હોટેલમાં છેલ્લી વારને માટે ભેળા બેસી ખાણું ખાવા મળ્યા, ને મુખ્ય જાપાની અધિકારીઓને પણ ભોજન લેવા નોતર્યા.
જાપાનીઓ એમ જ મલકાઈ ગયા કે આખરે કોરીયાવાસીનો ગર્વ ગળ્યો ખરો–આખરે તેઓ ઠેકાણે આવ્યા ખરા. રાત્રીના બારના સમયની તૈયારી હતી. એક સુશોભિત ટેબલ પર પથરાએલ વિપુલ અન્નપાનની સામગ્રીને જાપાની અધિકારીઓ ન્યાય આપી રહ્યા છે, એટલામાં બારનો ટકોરો થયો. અને કોરીયનોનો અગ્રેસર અચળ શાંતિપૂર્વક વદન ઉપર મધુર હાસ્ય ફરકાવતો ઉભો થયો. એક કાગળ કાઢી તેમાંનું લખાણ વાંચવા તૈયારી કરી. આખું મંડળ સ્વસ્થ થઇ ગયું. સઘળે શાંતિ છવાઈ ગઈ.
‘અમારી–મ્હેમાનોની સ્તુતિ–પ્રશંસા કરવાનો પણ કાર્યક્રમ રાખ્યો જણાય છે.” જાપાની અધિકારીઓ ખુશ થવા લાગ્યા, અને બોલનારના શબ્દો ઝીલવા શ્રવણઇંદ્રિયને સતેજ કરી.
અદ્ભૂત ગંભીરતાથી, અપૂર્વ સ્વસ્થતાપૂર્વક કોરીયન અગ્રેસરે ગર્જના કરી,
“આજે, આ સ્થળેથી, અમે કોરીયાનિવાસીઓ અમારી પ્રજાની સ્વાધીનતા જગત્ને જાહેર કરીએ છીએ.”
સાત આકાશ જાણે સામટા તૂટી પડ્યા હોય, વિદ્યુતનો કોઇ પ્રબળ પ્રહાર થયો હાય તેમ, જાપાની અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા, ગભરાઇ ગયા. આગળ શું થાય છે તે જોતાં બેસી રહ્યા.
કોરીયન અગ્રેસરે આગળ ચલાવ્યું,
“છેલ્લા પાંચ હજાર વર્ષના સ્વાધીનતાના અમારા ઈતિહાસના અનુભવબળે, અને અમારી બે કરોડ પ્રજાના સંપૂર્ણ સમર્થનથી આજે આ જાહેરાત અમે જગત્ સન્મુખ કરીએ છીએ. નવીન યુગની નવજાગૃતિને અનુરૂપ સ્વતંત્રતા અમારી સંતતિને બક્ષવા આ પગલું અમે લઈએ છીએ. સ્વાધીનતા એ કર્તાની કરણીનો ઉદ્દેશ છે, વર્તમાન યુગના આચાર્યોનો ઉપદેશ છે અને માનવજાતિનો અધિકાર છે. સ્વાધીનતા એવી વસ્તુ નથી કે જે દાબી દબાવી શકાય, ચગદી ચગદી શકાય કે ઝુંટવી ઝુંટાઈ શકાય.
હજારો વર્ષસુધી પ્રજાકીય સ્વાધીનતાનો ઉપભોગ કયા બાદ આજે જ્યારે જગત્ નવીન યુગમાં પ્રવેશ કરે છે ત્યારેજ પેલી જરીપૂરાણી જોહૂકમીના અને પશુબળ તેમજ લૂંટફાટની જ્વાળાના અમે શિકાર થઈ પડ્યા છીએ. છેલ્લા દશકાથી પરદેશી જૂલમની વેદનાથી અમે પીડાઈએ છીએ–જીવવાનો અમારો અધિકારજ જાણે ઝુંટવી લેવામાં આવ્યો છે; અમારા વિચારસ્વાતંત્ર્ય ઉપર અંકુશ મૂકવામાં આવેલ છે અને પ્રજાકીય જીવનની અમારી પ્રતિષ્ઠાને લૂંટી લેવામાં આવેલ છે.
ભૂતકાળની ભૂલો સુધારવી હોય, અમારી વર્તમાન વેદના વિદારવી હોય, અમારા ઉપરના ભાવી જૂલ્મો જો જતા કરવા હાય, અમને વિચારસ્વાતંત્ર્ય બક્ષવું હોય, અમારા વ્યવહારમાં સ્વતંત્રતા સાચવવા દેવી હોય, અમને સહજ પણ પ્રગતિના માર્ગે પ્રયાણ કરવા દેવું હોય, દુઃખ અને નામોશીભર્યાં ગુલામીના વારસામાંથી અમારી સંતતિને મુક્ત કરવા દેવી હોય અને તેમને માટે સુખ અને સંતોષ મૂકી જવા દેવા હોય, તો એ સર્વ માટે એકજ વસ્તુ આવશ્યક છે–અમને સ્વાધીન રહેવા દ્યો.
જે સમયે સત્ય અને ન્યાય માટે જગતનું જીગર તલપી રહ્યું છે, ત્યારે અમારામાંનો દરેક પોતાનું અંતર મજબૂત કરે તો બે કરોડની પ્રજા શું શું ન કરી શકે ? શા શા બંધનો ન તોડી શકે ? શા શા મનોરથો સિદ્ધ ન કરી શકે ?
જાપાને અમારા તરફ અઘટિત વર્તન ચલાવ્યું છે, અમારી સંસ્કૃતિને તેણે ધિક્કારી કાઢી છે, અથવા તો અમારા ઉપર તેણે જૂલ્મ કર્યો છે, તે સંબંધી અમારે કશું જ કહેવાનું નથી. જ્યાં અમારા પોતામાંજ દોષો ભરપૂર ભર્યાં હોય, ત્યાં પારકાના અવગુણ ગાવામાં અમારો કિમ્મતી સમય કાં વ્યર્થ વીતાવવો ? જ્યારે ભવિષ્યના કાર્યક્રમમાં અમારે મશગૂલ થવું ઘટે છે, ત્યારે ગઇગૂજરી શા અર્થે સંભારવી ? અમારા અંતરાત્માની આજ્ઞાનુસાર ભવિષ્યના તમામ અનર્થો દૂર કરી અમારો માર્ગ સાફ કરવા આજે અમને ઘટે છે. ભૂતકાળના દુઃખો અથવા તો વૈરવિરોધના પ્રસંગો સ્મરણમાં લાવી અમારા અંતર્માં ક્રોધ કે કડવાશ ઉત્પન્ન કરવા અમે નથી માગતા. અમારૂં ગુરૂ કાર્ય તો આજે એજ છે કે પશુબળની પૂરાણી પ્રથાને વશ બનેલ, વિશ્વનિયમ અને ઔચિત્યબુદ્ધિથી વિરૂદ્ધ વર્તેલ જાપાનની સરકારને અમારે સમજાવી દેવું કે તેણે હવે સુધરવું જ જોઇશે—સત્ય અને ન્યાયને માન આપવું જ પડશે. અમારે તો જાપાની સરકારનું હૃદય પીગળાવવું છે. આજ એ હૃદયની અંદર પશુબળની પુરાણી વૃત્તિ વસી રહી છે. અમારાં લોહી આપીને અમે એ રાક્ષસી હૃદયને પલટાવીશું; પછી જાપાન નીતિ, ધર્મ અને સત્યને પંથે પળશે.
કોરીયાને તમે જાપાન સાથે જોડી દેશો તેનું શું પરિણામ ? તમારી અને અમારી પ્રજાનાં હૃદયો વચ્ચે તો ઝેરવેરની ખાઈઓ ખોદાતી જશે, પ્રતિદિવસ ઉંડી ને ઉંડી ખોદાતી જશે. બ્હેતર રસ્તો તો એ છે કે સાચી હિંમત વાપરી પાક દાનતથી તમારાં પુરાણાં પાપોનું નિવારણ કરો, મહોબત અને મિત્રતા આદરો, કે જેને પરિણામે નવો યુગ મંડાશે, અને બન્ને પ્રજાઓને સરખું સુખ મળશે.
કોરીયાની સ્વાધીનતા અમને જ માત્ર જીવન આપશે એમ નથી. એ સ્વાધીનતા તમને પણ પાપના માર્ગ પરથી ઉગારી લેવાની, એશિયાના સંરક્ષકની પ્રતાપી પદવીએ તમને સ્થાપવાની–પરિણામે ચીન પણ તમારાથી ત્રાસતું બચશે. તમારા પરના દુર્બળ કોઈ ગુસ્સાની અંદરથી આ વિચારો નથી પ્રગટતા, પણ વિશ્વકલ્યાણ અને વિશ્વપ્રેમની મહાન્ મુરાદોની અંદરથી ઉઠી રહ્યા છે.
અમારી દૃષ્ટિ સન્મુખ આજે નવીન યુગ ઉભો થયો છે. પશુબળનો યુગ તો હવે ભૂતકાળના ઈતિહાસની વાત થઈ ગઇ. જૂના જગત્ના દુઃખભર્યા અનુભવે આપણને નવું જ્ઞાન અને નવો પ્રકાશ આપ્યા છે. સર્વને સર્વનું સુપ્રત કરી દેવાનો આ યુગ છે. આવા આ યુગના મધ્યાહ્નકાળે અમારી સ્વાધીનતા ખરી કરવા આજે અમે મેદાને પડીએ છીએ. અમે હવે વિશેષ વિલંબ કરતા નથી. કોઇપણ હવે અમને ડરાવી કે દબડાવી શકશે નહિ.
જૂની દુનિયાના અંધકારભર્યા આવાસોમાંથી હવે અમે પ્રકાશને પંથે ચડ્યા છીએ. સત્યને અમારો સાથી બનાવીને, સ્વાશ્રયનો જ માત્ર આધાર રાખીને, સંપૂર્ણ નિશ્ચયબળથી, એકદિલે અને એકચિત્તે અમારો અર્થ સાધવા આજે અમે બહાર પડીએ છીએ. શિયાળાના બરફ અને ઝાકળથી ઠરી ગયેલી કુદરત સૂર્યદેવના આછા કિરણોથી અને વસંતઋતુની મધુર લહરીથી આજે જાગૃત થઈ છે. તે સાથે અમે પણ આજે જાગૃત થયા છીએ. અમારા પિતૃદેવો સ્વર્ગમાં રહ્યા રહ્યા અમને સહાય કરો ! જગત્ના સર્વ શુભ બળો અમારી કુમકે આવો ! અને અમારા નિશ્ચયના આ દિવસથી જ સ્વાધીનતાની પ્રાપ્તિ અમોને થઇ જાઓ ! એવી જ્વલંત આશા સાથે આજે અમે અમારૂં કાર્ય શરૂ કરીએ છીએ.”
જાપાની અધિકારીઓ હજી તો પોતાની વિસ્મય–નિદ્રામાંથી જાગૃત ન્હોતા થયા, ત્યાં તો ઢંઢેરો વાચનાર અગ્રેસરે શહેરના મુખ્ય પોલિસ અધિકારીને ટેલીફોન ઉપર બોલાવી તેમને સર્વને પકડી જવા આમંત્રણ કર્યું. તેને કહેવરાવ્યું કે ‘તમારા મહેમાન થવા અમે સજ્જ થઈ બેઠા છીએ–કેદીનું પાંજરૂં મોકલાવો !’
પોલીસ મોટર આવી પહોંચી. ત્રીસ શૂરાઓ બંદીખાને ઘસડાયા. માર્ગમાં લોકોની મેદિની માતી નથી. વાવટાનું જાણે કોઇ જંગલ ખડું થયું. ત્રીસ શૂરાઓને કાને ડગલે ડગલે પ્રચંડ ધ્વનિ સંભળાય છે કે “અમર રહો મા કોરીયા !”
ગામડે ગામડે લોકોએ કેસરીયાં કર્યાં છે, સ્વાધીનતાનો સંદેશ વંચાય છે, વાવટા ઉડે છે, અને ગર્જના ઉઠે છે કે “અમર રહો મા કોરીયા !”
પ્રજા પાગલ નથી બની, ભાન નથી ભૂલી. તે સારી રીતે સમજે છે કે, બીજી પ્રભાતે એનાં પ્રત્યેકનાં માથાં ઉડવાનાં છે. પણ આજ તો ખોવાયેલી માતા મળી છે. જનેતાની છાતીમાંથી સ્વતંત્રતાના ધાવણની ધારાઓ છૂટી છે. આજ એ તરસ્યાં સંતાનો મોતનો ભય ભૂલ્યાં છે. પોલીસો કમર પરના પટ્ટા ફેંકી દે છે, બાલકો ને બાલિકાઓ નિશાળો ખાલી કરે છે, અને નિર્ભય નાદે ગરજી ઉઠે છે કે “અમર રહો મા ! અમર રહો મા ! અમર રહો માતા કોરીયા !”
આવા નિર્ભય અને પ્રતાપવંત જાહેરનામાની નીચેજ ત્રણ કલમો ટાંકેલી.
૧. સત્ય, ધર્મ અને જીવનને ખાતર, સમસ્ત પ્રજાના આદેશ અનુસાર, પ્રજાની સ્વતંત્રતાની ઈચ્છાને અમે જાહેર કરીએ છીએ. સાવધાન ! કોઇને પણ કશું પીડન દેવાનું નથી.
૨. જે અમારો સાચો સાગરિત હશે તે તો સદાને માટે; પ્રત્યેક કલાકે અને પ્રત્યેક પળે, આનંદની સાથે અહિંસક બની રહેશે.
૩. આપણે કામ લેવાનું છે તે એવી તો સભ્યતાપૂર્વક ને વ્યવસ્થાપૂર્વક કે આખર સુધી આપણું આચરણ નિર્મળ અને માનવંત બની રહે.
જગત આખું તાજ્જુબ બન્યું. પરદેશીઓને તો લાગ્યું કે ગગનમાંથી જાણે કોઈ વજ્ર પડ્યું. પરદેશીઓ જાણતા હતા કે જાપાની રાજસત્તાનો જાપતો કેવો ભયાનક હતો. કોરીયાના એકેએક આદમીનું નામ સરકારને ચોપડે નોંધાતું, દરેકને એક નંબર મળતો, અને પોલીસ આ નંબર જાણતી. પરગામ જતી વેળા પોલીસની પોથીમાં કોરીયાવાસીએ પોતાના કામકાજની વિગત લખાવવી પડે. પોલીસ એ બીજે ગામ તારથી તપાસ કરાવે છે એ વાત સાચી હતી કે ખોટી. નોંધાવ્યા મુજબ હકીકત ન નીકળે તો કોરીયાવાસીનું આવી બનતું.
પ્રત્યેક માણસનું નામ અમુક વિભાગમાં નોંધાતું. કોરીયાવાસી જરા આગળ પડતો થાય કે એનું નામ [અ] વિભાગમાં ચડી ચૂક્યું હોય. પછી એની પછવાડે છૂપી પોલીસ ફરે. ન્હાસી જનારા માણસને તો પોલીસ પૂરો જ કરી નાંખે. ફરી એ ઘેર આવે નહિ.
આવા સખ્ત ચોકીપહેરાની વચ્ચે, આવા ઘોર કાયદાની ઉઘાડી આાંખ સામે, ને છુપી પોલીસથી ઘેરાયેલા આવા દેશની અંદર, આખરની ઘડી સુધી જાપાની કાગડો પણ એક મહાન્ ઝુમ્બેશને જોઈ ન શકે, એ વાતની અજાયબી તો આખી દુનિયાના મનમાંથી હજુ મટી નથી.
ઘણા વરસોનો અબોલ બની ગએલો પેલો ચાન્ગો નગરનો પ્રાચીન ઘંટ રણકી ઉઠ્યો શીઉલ નગરને પાદરે ઉભેલો “સ્વાધીનતાનો દરવાજો” ફરી શણગારાયો અને નામસાનના શિખર પરની જ્વાળા સ્વાધીનતાનો સંદેશો ફેલાવતી ઝળહળી ઉઠી. ગલીએ ગલીએ, ને ઘેરે ઘેરે ગર્જના થાય છે કે “અમર રહો, માતા કોરીયા !” સ્ત્રી, પુરૂષ કે બાલકના હાથમાં એક જ ચીજ છે–કોરીયાનો વિજયધ્વજ.
બંદીખાનાઓની અંદર બંદીવાનો બેઠા બેઠા શું કરે છે ? — માતા કોરીયાના વાવટા તૈયાર કરી રહ્યા છે.
આખી ઝુંબેશને અદ્ભૂત બનાવી દેનાર તો લોકોની શાંતિ હતી. તોફાનનો એક ઇસારો પણ નહિ, મારપીટનો એક પણ કિસ્સો નહિ !
પહેલું જાહેરનામું કાઢનારા તેત્રીસ નેતાઓ ગિરફ્તાર થયા. નવાઓએ તેની જગ્યા પૂરી. તત્કાળ જાહેરનામું કાઢ્યું કે
“ધન્ય છે તમારી પ્રતાપભરી શાંતિને ! હે બંધુજનો ! એ શાંતિને બરાબર જાળવજો. મારપીટ કરનારો માણસ, માતા કોરીયાનો વેરી બનશે !”



કોરીઅન હડતાળનો એક દેખાવ:–
સજ્જડ બજારોમાં જાપાની સેના પહેરો ભરે છે. [પા. ૧૫]કોરીયાનો જયઘોષ કરનારને ઠાર કરવા ઉભેલી જાપાની સેના. [પા. ૬૫]
આવતા અંકેઃ પ્રકરણ ૯ મું. – ભીષ્મ પ્રતિજ્ઞા.
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
-
હેમંત કુમાર – આંચલસે ક્યું બાંધ લિયા, મુઝ પરદેસીકા પ્યાર!
સંગીતની કેડીએ જિપ્સીનો વિસામો
કેપ્ટન નરેન્દ્ર ફણસે
“શાને બાંધ્યો મને સ્નેહના તાંતણે?”
આપણી મુગ્ધાવસ્થામાં કોઇ સુંદર કન્યાએ આપણી સામે જોઇને કરેલું મોહક સ્મિત ચિત્તમાં જેમ કાયમ માટે ચિત્રીત થાય, તે રીતે કેટલાક ગીતો પણ મનના ટેપ રેકોર્ડરમાં કાયમ માટે અંકાઇ જતા હોય છે. બસ, કોઇ વાત, કોઇ શબ્દ અથવા હવાની એવી લહેર આવીને મન, ચિત્ત અને હૃદયના તાર પર હળવો સ્પર્શ કરી જાય, તે સ્મિત, ગીત અને પ્રસંગ ફરી એક વાર અંતરની આંખ – ‘inward eye’ સામે અભાવિત રીતે ઉપસ્થિત થાય છે, તેના સૂક્ષ્મ સૂર કાનનાં પડદાને ઝંકારી જાય છે. હોઠનાં ખૂણાં થોડા મરકી ઉઠે. આવું થાય ત્યારે કોઇ પૂછે, ‘અરે ભાઇ, ક્યાં ખોવાઇ ગયા છો?’ તેને કેમ કરીને કહેવાય કે ભાઇ, જાગૃતાવસ્થાનું સ્વપ્ન, જેને કવિઓ reverie કહે છે, તે આ જ હોય છે? કેવી રીતે તેને સમજાવીએ કે વિતેલા જીવનમાં અનુભવેલા પ્રેમ, વિયોગ, ભગ્ન હૃદયની વિષમ અવસ્થાને ફરીથી કોઇ યાદ કરાવે છે? વિચારો આવે છે:
કેટલું રમ્ય એ બાલપણ હતું?
સ્નેહના તાંતણે આ પરદેશીના પ્રેમને તમે શા માટે બાંધી લીધો? આવતી કાલનું પ્રભાત ઉગે તે પહેલાં તો હું ચાલ્યો જવાનો છું!
પાષાણ સમું જેમનું હૃદય હોય, તેને હૃદયમાં સ્થાન આપીને શું કરીશું?
આ રજની, આ ચાંદની ફરી ક્યારે મળશે? અરે, આજે તો તમે મારા હૃદયની કથની સાંભળતા જાવ!
વ્યક્ત-અવ્યક્ત પ્રેમ, ઝંખના, વિયોગને કવિએ શબ્દ આપ્યા, તેને જીવંત કર્યા હેમંત કુમાર મુખોપાધ્યાયે. હા આપણા હેમંતકુમારે!
રવીંદ્રસંગીતમાં બંગાળી અને પ્રવાસી બંગાળીઓ (Non Resident Bengali!)નાં ચહેતા આ ગાયકે પહેલી વાર હિંદી ગીત ગાયું ત્યારે બિનફિલ્મી ગીતોના જગતમાં વિદ્યુલ્લેખા ચમકી. વિજળીનો આ તરંગ એવો હતો કે તેની ચમક અનેક વર્ષો સુધી સંગીત-નભમાં દમકતી રહી. ગીત હતું, ‘આંચલસે ક્યું બાંધ લિયા, મુઝ પરદેસીકા પ્યાર!’
આ ગીત સાંભળતાં આંખની સામે ફિલ્મ ‘જવાબ’નું દૃશ્ય જરા જુદી રીતે ઉભું થતું. અહીં પરદેશી યુવાન સ્મતિભ્રંશથી પીડાતો નથી. નાનકડા wayside stationના સ્ટેશન માસ્તરની મુગ્ધમનની યુવતી તેને નયનો દ્વારા સ્નેહને તાંતણે બાંધી લે છે, પણ કહી શકતી નથી કે તે યુવાનને ચાહે છે. યુવાન જાણે છે કે સૂર્યનાં પહેલાં કિરણો ક્ષિતીજમાંથી ડોકિયું કરે તે પહેલાં તેને જતાં રહેવાનું છે અને ….
બસ આગળ તો આપે આ ગીત સાંભળવું જ રહ્યું! હેમંતકુમારે કેટલી ઉત્કટતા અને સમજથી ગીત ગાયું કે રેકૉર્ડ બહાર પડતાં જ સંગીત નભમાં એક તેજસ્વી તારાનો ઉદય થયો!
ત્યાર પછી ‘ભલા થા કિતના અપના બચપન’ આવ્યું. કોઇ કોઇ ઠેકાણે અપદ્યાગદ્ય જેવી લાગતી પંક્તિઓનું આ ગીત કેમ ન હોય, રસિકોએ તેને ક્ષુધાતુર ચાતકની જેમ માણ્યું.
અને પછી સિલસીલો શરૂ થયો:
‘પત્થરકી તરહ હો દિલ જીસકા, ઉસે દિલમેં બસા કર ક્યા કરેં?’
હેમંતબાબુની repertoire તથા ગાન-ક્ષિતિજ એટલાં વિસ્તીર્ણ હતા, કે તે સમયે તેમણે ગાયેલ ભક્તિગીતમાં પણ તેમના હૃદયનો ભાવ સ્પષ્ટ થતો અનુભવાતો. કોઇ પણ સુગમ સંગીતના ગાયક બાગેશ્રીમાં કોઇ ગીત ગાય, જિપ્સીને તો હેમંતબાબુએ ગાયેલું ‘મધુબનમેં ન શ્યામ બુલાવો‘ યાદ આવી જતું. તેમાં પણ તેઓ આર્તસ્વરે ગાતાં, “બેબસ કો દુનિયા ઠુકરાયે, તુમ તો નહિં ઠુકરાવો‘ ગાઇ સમ પર આવે ત્યારે શ્રોતાને રોમાંચ થઇ આવે! અને બીજા અંતરામાં ‘જીસ દિલમેં તુમ્હારા પ્યાર બસા, ફિર સૂના મન ગુલઝાર બના/તુમ બસંત બન કર આઓ..‘ સાંભળીએ તો ખરેખર રાધિકાના હૃદયમાં વસંત કેવી રીતે ખિલી ઊઠ્યો હશે તેનો અંદાજ આવી જાય! બંગાળીમાં ‘અદ્ભૂત’ શબ્દ છે, પણ સાચે જ કોઇ અદ્ભૂત વાત જોવામાં કે સાંભળવામાં આવે, તેઓ બોલી ઉઠે છે, ‘ચોમોત્કાર!’ હેમંતબાબુનું ‘મધુબનમેં..’ ગીત પૂરૂં થાય ત્યારે આ જ શબ્દ મુખમાંથી નીકળે: ચોમોત્કાર!
હેમંતબાબુની ભાવથી નિતરતાં ગીત ગાવાની શૈલી પણ આગવી જ. ફિલ્મ જગતમાં આવ્યા બાદ તેમણે ગાયેલા ગીતો હજી હૃદય હલાવી દે. વર્ષો વિતી ગયા છતાં તેમણે ગાયેલા ગીતોને હજી પણ ‘ભૂલે બિસરે ગીત’માં સ્થાન આપવાની કોઇની હિંમત નથી ચાલી. તેમણે જે ફિલ્મોમાં ગીતો ગાયા, કોઇ ભુલી શક્યું નથી. અરે, સાવ અજાણી ગણાતી ફિલ્મ ‘બાદબાન’ (મહાનાયક અમિતાભ બચ્ચનનું નહિ, પણ ખુદ અમિતાભ જેમને મહાનાયક કહે છે તે દિલીપસાહેબની ફિલ્મ)માં તેમણે ગાયેલું, “કૈસે કોઇ જીયે?’ યાદ છે આપને? તેમાં જે રીતે તેમણે ‘ઊઠા તુફાન, આસકે સબ બુઝ ગયે દિયે..’ ઉપાડ્યું, દિલમાં તીવ્ર કસક ઉપડે. ખાસ તો છેલ્લા અંતરામાં‘પ્યાસે પપિહરે…’ ઉચ્ચારે છે ત્યારે દિલીપકુમારના ભાવ અને તેને સંપૂર્ણ રીતે ઓપી ઉઠે તેવા સૂરમાં હેમંતબાબુએ આ ગીત ગાયું. આ ગીતના સંગીતકાર તિમીરબરને આ સાંભળીને ‘ચોમોત્કાર’ જરૂર કહ્યું હશે.
હંમેશની જેમ જિપ્સી કલાકારના જીવનની તારીખોમાં ઉલઝાવાને બદલે તેમની કલાનો આપની સાથે મળીને રસાસ્વાદ કરવામાં માને છે. કવિનો કલામ બંધ મહેફીલમાં સંકોચાઇ ન રહે તે માટે સૂરસર્જક તેને melody – બંદીશમાં ઢાળે અને શ્રેષ્ઠ ગાયકની ખુબી કવિ તથા સૂરસર્જકના ભાવ, તેમનાં સંવેદનોને સમજી તેમાં પોતાના પ્રાણ ઉમેરવામાં હોય છે. પછી ભલે તેમને અંતરાની ચારે’ક પંક્તિઓ ગાવાનું કહેવામાં આવે કે આખું ગીત. પંડિત હૃદયનાથ મંગેશકરે સંગીતબદ્ધ કરેલું માછીમારોનું કોંકણી ગીત ‘મી ડોલકર, દર્યાચા રાજા’ તેમણે હેમંતબાબુ તથા લતાદીદી પાસે ગવડાવ્યું તે હજી ગવાય છે, સંભળાય છે, કદી ભુલાયું નથી અને ભુલાશે નહિ!
હેમંતબાબુના ‘હિટ‘ થયેલા ગીતો અસંખ્ય છે. કયા ગીતને અહીં રજુ કરીએ, ક્યા ગીતને ફરી ફરી સાંભળવાનું મન થાય, મન અચંબામાં પડી જાય. એક એક ગીતની પંકતી મનના દરવાજા પર સાંકળ ખખડાવે છે, અને કહે છે, અમને અંદર આવવા દો! ખાસ કરીને પૂર્ણ કળાએ ખિલેલી ચાંદનીમાં સમુદ્રની લહેરો સાથે આવતા મંદ પવનમાં ગિટારના ઝણકાર સાથે હેમંતબાબુએ ગાયેલું, સચિન દેવ બર્મને સુરબદ્ધ કરેલું ‘યે રાત યે ચાંદની ફિર કહાં….’ કદી ભૂલાશે?
હેમંતબાબુ વિશેની વાત જિપ્સી અહીં પૂરી કરશે તો તેમના પ્રત્યેના આદરમાં અપૂર્ણતા મહેસૂસ થશે. હજી તો કેટલીયે વાતો કરવી છે, ગીતો સાંભળવા છે, જેને તે આવતા અંકમાં રજુ કરશે.
આજે તો અહીં વાત પૂરી કરવી પડશે! જતાં જતાં તેમણે live concertમાં ગાયેલું ગીત “ઝીંદગી કિતની ખુબસુરત હૈ…” સાંભળીશું. આવા સંગીતકારોનાં ગીતો આપણાં જીવનમાં જ્યાં સુધી છે, જીવન હંમેશા સૌંદર્યપૂર્ણ રહેશે.
હવે પછી –
હેમંત કુમાર – ‘તુમ્હારા ઇન્તઝાર હૈ!’
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૧
રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

અલ્પા શાહ
નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.
કવિવરના જીવનમાં પ્રેમ તત્વ કેન્દ્ર સ્થાને હતું – પછી એ પ્રેમ પરમેશ્વર તરફનો હોય કે પ્રકૃતિ તરફ હોય કે પ્રિયજન તરફનો. મનોવિજ્ઞાન એવું માને છે કે જે વ્યક્તિ પોતાની આસપાસ અકારણ પ્રેમની લ્હાણી કરી શકે તે વ્યક્તિ સંવેદનાઓથી છલકતી હોય…કવિવરના હૃદયમાં પણ પ્રેમની શાશ્વત ધારા વહેતી હતી અને કદાચ એટલે જ તેમનું મન અને કલમ સંવેદનાઓથી ભરપૂર હતા.
આજના આ ખાસ દિવસે, પ્રેમ પારજોયની એક અતિ પ્રખ્યાત, પ્રચલિત અને સંવેદનશીલ રચનાને આપણે જાણીશું અને માણીશું. આ કવિતામાં ગુરુદેવે જેણે પ્રેમનો પ્રત્યક્ષ એકરાર કર્યો નથી એવા પ્રેમીના મૃદુ મનોભાવોનું ખુબ બારીકાઈથી આલેખન કરેલું છે. 1885માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે આ ભાવપૂર્ણ બંગાળી કવિતા નું શીર્ષક છે ” কতবারভেবেছিনু” (Kotobaro Bhebechinu). તેનું ભાવાનુવાદિત શીર્ષક છે “કેટલી વાર કરું વિચાર…”. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપેભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું. કવિવરે આ કાવ્યની રચના એક English song પરથી પ્રભાવિત થયા બાદ કરી હતી.આ કાવ્યમાંકવિવરે મૂળ ગીતનું હાર્દ જળવાઈ રહે તેવી રીતે બંગાળી શબ્દોની શબ્દગૂંથણી કરી છે.
This song is based on the English song titled “To Celia” written by famous English playwright and poet Benjamin Jonson and first published in 1616. This English song is famous as “Drink to me only with thine eyes” song. કવિવરે બંગાળી ગીતનું સ્વરાંકન પણ English song પ્રમાણે જ કરેલું છે.

ગુરુદેવે આ કાવ્ય કેવા સંજોગ અને સંદર્ભમાં લખ્યું હતું તેની તો મને ખબર નથી પણ ઋજુ લાગણીઓનેદર્શાવતા આ કાવ્યમાં જે એકપક્ષીય, અવ્યક્ત પ્રેમ unexpressedlove નું આલેખન થયેલ છે એ કદાચ સૌથી વધુ પીડાદાયક પ્રેમ ગણી શકાય. અહીં સામેનુંપાત્ર તમારી તેના પ્રત્યેની લાગણીઓથી તદ્દન અજાણ હોવાથી પ્રેમનો પ્રતિસાદ સાંપડતોનથી. The most painful love there is, the love left unshown and an affection left unknown. And the most painful thing about such unexpressed love is, it never fades away. આ અવ્યક્ત પ્રેમ માત્ર સ્ત્રી અને પુરુષવચ્ચે જ હોય એવું જરૂરી નથી, દુનિયાના કોઈ પણ સંબંધમાં અવ્યક્ત પ્રેમનુંઅસ્તિત્વ હોઈ શકે.મારી દ્રષ્ટિએ પ્રેમ એતો લાગણીઓનું વહેતુ ઝરણું છે. આપ્રેમના ઝરણામાં જો સામેની વ્યક્તિ ભીંજાય નહિ તો પ્રેમનું સાતત્ય અપૂર્ણ રહે છે. Any type of relationship is meaningless if you do not express your genuine emotions and feelings through your actions, gestures, and words. એટલે એનો મતલબ એવો નહિ કે જેને તમે પ્રેમ કરતા હોવ એનેતમારે સતત I love you કહેવું પડે. સામેનીવ્યક્તિ તરફનો પ્રેમ તમારા વાણી, વર્તન અને વ્યવહારમાં અભિવ્યક્ત થવો જોઈએ.સામેની વ્યક્તિને તમારા પ્રેમનો અહેસાસ થવો જોઈએ. ઘણીવાર અડોઅડ રહીને પણ બેવ્યક્તિઓ જળકમળ રહે છે અર્થાત પ્રેમની છાલકે ભીંજાતા નથી અને ઘણી વાર માઈલો દૂરથીબે વ્યક્તિઓ વચ્ચે પ્રેમની ઉષ્માનો અનુભવ થાય છે. પ્રેમને અભિવ્યક્ત કરવા માટે કારણ હોવું પણ જરૂરી નથી. અકારણ અભિવ્યક્તિનો આનંદજ અનેરો છે – આપણા માટે અને સામેની વ્યક્તિ માટે.
તો ચાલો, આજે જીવનના દરેક સંબંધમાં કારણ-અકારણ પ્રેમ અને લાગણીની અભિવ્યક્તિ કરવાનો નિર્ણય કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,
સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
