-
વામા-વિશ્વ – સીમાકુમારી- ગામડેથી હાવર્ડ અને કૂવાકાંઠેથી ફૂટબોલ ગ્રાઉન્ડમાં
ગરીબ ઘરની દીકરી જ્યારે સામાજિક ટોળામાં જાય છે ત્યારે તેને એલિયન તરીકે જોવાય છે.
આલેખનઃ અનુરાધા દેરાસરી
ઝારખંડ રાજ્યની ૧૯ વર્ષની સીમાકુમારીની કૂવાથી પાણી ભરવાથી માંડી, હાર્વડ યુનિવર્સિટીના ઇકોનોમિક્સ સુધીની સફર, એ તેના શક્તિ સંકરણની વાત જે ભારતની દરેક યુવતી/મહિલાને પ્રેરણા આપી જાય છે. જિંદગીમાં દરેક વ્યક્તિ બે અત્યંતબિંદુઓ વચ્ચે કાર્ય કરે છે. સપનાની શરૂઆત અને સફળતાની ટોચ આ રસ્તામાં વચ્ચે આવતી મુશ્કેલીઓ, પડકારોને જે મહાત્ત કરી જાય છે તે સફળતાની ટોચ પર પહોંચે છે. રસ્તો અઘરો છે પણ અશક્ય નથી.
સીમાકુમારીની વાતની શરૂઆત થાય છે, બંગલાદેશની સરહદે જારખંડ રાજ્યના એક નાના ગામમાં સીમાકુમારીના જન્મથી. માતા-પિતા અશિક્ષિત, એક દોરા બનાવવાની કંપનીમાં વર્કર તરીકે કામ કરે. ઓગણીસ જણનું વિશાળ કુટુંબ કમાનાર નિયમિત તેના પિતા, આથી બે ટંક રોટલો માંડ નીકળતો. ઘણીવાર સાબુદાણાની કાંજી પી સીમાકુમારી અને કુટુંબીજનોને સુવાનો વારો આવતો. આમ ગરીબી અને અભાવમાં સીમાકુમારીનો ઊછેર.જૂનવાણી વિચારમાં સીમાકુમારી મોટી થવા માંડીને નવવર્ષની થઈ. રોજ ખેતર જવું, કૂવેથી પાણી લાવવું ને માને રસોઈમાં મદદ કરી ગૃહકાર્ય કરવું તે જ તેનું રોજીંદુ જીવન હતું.
એક દિવસ તે કૂવેથી પાણી ભરી રહી હતી ત્યારે તેણે સામેના ચોગાનમાં કેટલીક છોકરીઓને બોલથી રમતી જોઈ. આ હતી ફૂટબોલની રમત. યુવા ફાઉનડેશન તરફથી તેના ગામ દાહુમાં છોકરીઓને આ રમત શીખવાડી રહ્યા હતા. સીમાકુમારીને રસ પડયો, તેણે પૂછપરછ કરી અને ફૂટબોલની રમતની ટ્રેનીંગમાં જોડાવવાનું નક્કી કર્યું.
સીમાકુમારીની માતા ભણી નહોતી પણ ગણી હતી. તેણે સીમાકુમારીની આંખોમાં કંઈક કરી છૂટવાની ચમક જોઈ હતી. આથી તેણે સીમાકુમારીને સાથ આપ્યો, બધા સાથે દલીલો કરી અને છેવટે સીમાકુમારીને ફૂટબોલ ટીમમાં જોડાવવાની કૌટુંબિક ને સામાજિક પરવાનગી અપાવી.
સીમાકુમારીના જીવનનું ટર્નિંગ પોઇન્ટ.
સીમાકુમારીએ ફૂટબોલની દાહુની ટીમમાં પ્રવેશ લીધો. તે ઘરની બધી જ જવાબદારીઓ, ખેતરનું કામ, કૂવે પાણી ભરવાનું કામ, વગેરે બધુ જ ગૃહકાર્ય કરીને રમવા જતી ને ફૂટબોલ ટ્રેનિંગ લેવા માંડી. જોતજોતાંમાં સીમાકુમારી ફૂટબોલની કીક નિષ્ણાત ગોલકીપર બની ગઈ. આ ફૂટબોલની કીકે, સીમાકુમારીનું જીવન બદલી નાખ્યું. સીમાકુમારી ઝારખંડ રાજ્યની ફૂટબોલ ટીમ માટે પસંદગી પામી અને પ્રથમ રાજ્યકક્ષાએ પછી રાષ્ટ્રીયકક્ષાએ અને પછી યુએસએના સીએટલમાં ફૂટબોલની રમત રમવા જવાનું થયું.
સીમાકુમારીએ દુનિયાની બીજી યુવતીઓ, મહિલાઓનાં સપનાં જોયા, શિક્ષણનું મહત્ત્વ જોયું અને આધુનિક વિચારસરણી જોઈ. તેને સમજાયું કે યુવતીઓ લગ્ન, દાંપત્યજીવન, બાળકોને ઘરેલું હિંસા, છોકરીઓ સાથેના નકારાત્મક વિચારોથી ઉપર એક દુનિયા છે,
જેનું પ્રથમ ચરણ છે શિક્ષણ. તેણે નક્કી કર્યું કે હું ગમે તેમ કરી ભણીશ. ને કુદરતે તેનાં સ્વપ્નોના દ્વાર ખોલી આપ્યાં. આ જ યુવા ફાઉન્ડેશને જોયું કે, સીમાકુમારી જેવી અનેક છોકરીઓ ભણવા માગે છે અને તેમનામાં હોંશ અને આવડત છે, એ જોઈ દાહુમાં શાળા ખોલી અને સીમાકુમારીએ ભણવા જવાનું નક્કી કર્યું. સીમાકુમારી ભણવામાં પણ નિપુણ નીવડી. સારા માર્ક્સ સાથે ધોરણો પાસ કરવા માંડી, અને ફરી વોશિંગ્ટન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે દેશોના એક્સચેન્જ પ્રોગ્રામમાં પસંદગી પામી. અહીં વોશિંગ્ટનને કેંબ્રીજ યુનિવર્સિટીમાં તેણે કોલેજો જોઈ અને તેને ખ્યાલ આવ્યો કે વૈશ્વિક પ્રગતિ માટે અંગ્રેજી
આથી દાહૂ ગામ પાછા આવી તેણે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. જોતજોતામાં તે ઘણું સારું અંગ્રેજી શીખી ગઈ. તેના વુમન પાવર એમ્પરમેન્ટે તેને સફળતાના રસ્તે આગળ વધારી દીધી.
સીમાકુમારીની શાળામાં બીજા દેશોમાંથી શિક્ષક/શિક્ષિકાઓ ભણાવવા આવતા. યુએસએથી મેરી નામના શિક્ષિકા આવ્યા, તેમણે સીમાકુમારીની હોશિયારી ને આવડત જોઈ અને હાર્વડ યુનિવર્સિટીમાં ભણવા જવાની પ્રેરણા આપી.
જે સીમાકુમારી માટે અક્ષરો કાળાભેંશ જેવા હતા, તેને શિક્ષણની સર્વોચ્ચ ટોચમાંની એક હાર્વડ યુનિવર્સીટીમાં જવાની પ્રેરણા મળી. એ જ સામાજિક અને આર્થિક મુશ્કેલીઓ ઘરનો વિરોધ અને કેબ્રજ યુનિવર્સીટી માટે પ્રવેશની પરીક્ષા સેટ ની ફી ક્યાંથી લાવવી ? દાહુ શાળાના શિક્ષણની ફી તો તે ફૂટબોલના કોચ તરીકે સેવાઓ આપી, તેમાંથી આપતી હતી, પણ આટલી બધી ફી ક્યાંથી લાવવી ? જેનું મન દૃઢ મનોબળવાળું છે તેને માટે માળવું, કુદરત ખોલી આપે છે.
કોવિડ પેનડેમિકનો સમય આવ્યો ને એ વર્ષો માટે હાર્વડ યુનિવર્સિટીએ એન્ટ્રન્સ ફી માફ કરી. સીમાકુમારીએ મેરી શિક્ષિકા ને સીનીયર ફૂટબોલ કોચની મદદથી યુનિવર્સીટી માટે જરૂરી નિબંધ લખ્યો અને હાર્વડ યુનિવર્સિટીમાં કોર્સ માટે અરજી કરી તેની અરજી પાસ થઈ પણ તેની ગણિત અને અંગ્રેજીની બીજી પરીક્ષા લેવાઈ અને તે હાર્વડ યુનિવર્સિટીમાં પ્રવેશના પરિણામની રાહ જોવા લાગી.
એના જ શબ્દોમાં જોઈએ : ‘પરિણામ આવવાનું હતું તે રાત્રે હું કલાકે કલાકે ઉઠી, ઇમેલ જોતી, અને જ્યારે પ્રવેશ મળ્યાનો ઇમેલ આવ્યો ત્યારે મારા આનંદની ચરમસીમા આવી, દોડીને મારી માતા, જે મારી પ્રેરણામૂર્તિ હતી તેમજ મારી શિક્ષિકા મેરી અને ફૂટબોલ કોચને આ સમાચાર દોડીને આપ્યા.
આજે સીમાકુમારી હાર્વડ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સના વિષય સાથે સ્નાતકનું ભણી રહી છે.
દાહુ ગામના કૂવાન કાંઠેથી હાર્વડનાં ક્લાસની બેંચ સુધીની શક્તિ સંકરણની સફળ સફર
સીમાકુમારી ભારતના મહિલાઓને તે સમાજને એટલું કહેવા માગે છે કે એક કે ભારતીય સમાજમાં ગરીબ ઘરની દીકરી જ્યારે સામાજિક ટોળામાં જાય છે ત્યારે તેને એલિયન તરીકે જોવાય છે. તે તફાવત ના હોવો જોઇએ અને બીજું જે દરેક ક્ષેત્રમાં છોકરા છોકરીઓનો જાતિય ભેદભાવ છે તે ના હોવો જોઈએ.
સીમાકુમારી હાર્વડ સ્નાતક થઈ દાહુ ગામમાં એનજીઓ છોકરીઓ માટે ખોલવા માગે છે. જેથી છોકરીઓ શિક્ષિત થાય, આર્થિક ઉપાર્જન કરી પગભર થાય અને જૂનવાણી વિચારના કોચલામાંથી બહાર નીકળે.
સીમાકુમારીના વુમન એમ્પાવરમેન્ટને સલામ.
-
સ્મૃતિસંપદા : રેખા સિંધલઃ શૂન્ય થી અનંતની સફર [૨]
સુશ્રી રેખાબહેન સિંધલની શૂન્ય થી અનંતની સફર ની શરૂઆત તેમના અમેરીકામાં પ્રવેશ અને સંઘર્ષથી થઈ.હવે તેમની સાથે સફરમાં આગળ વધીએ …..
મારી વિદ્યાયાત્રા
૧૯૫૬માં હું જન્મી ત્યારે ગુજરાત અલગ રાજ્ય ન હતું. કોમવાદી વાતાવરણમાં અમારી અભણ રબારી જ્ઞાતિની કોઈ ગણના નહીં. જ્ઞાતિમાં સ્ત્રી શિક્ષણ તો દૂરની વાત પણ ભાગ્યે જ કોઈ પરિવારમાં કોઈકને લખતાં વાંચતા આવડે. ગીર અને બરડાના ડુંગરોમાં વિચરતી આ જ્ઞાતિના વાડાઓ શહેરોમાં પણ અલગ હોય. પશૂપાલન અને ખેતી સાથે વણાયેલી ગ્રામ્ય સંસ્કૃતિનો મેળ શહેરી સંસ્કૃતિ સાથે કરવાનું મુશ્કેલ. દીકરી તો ઠીક, દીકરાને ભણાવવાનો વિચાર પણ અભણ માબાપ માટે અઘરો હતો. એવા સમયમાં અમે ભાઈબહેનોએ પ્રાથમિક શિક્ષણ પ્રાયવેટ સ્કૂલમાં મેળવ્યું હતું.
સ્કૂલના ટ્રસ્ટીની દીકરી જેને આપણે નયના કહીશું તે મારાં વર્ગમાં હતી. સ્કૂલમાં તેનાં ઘણાં મિત્રોમાંની હું એક હતી પણ ઘરલેશન અમે હંમેશાં સાથે કરતાં. મોટેભાગે એણે મારાં લેશનની કોપી કરી હોય. હોંશિયાર ન હોવા છતાં તે પરિક્ષામાં પ્રથમ નંબરે પાસ થતી તેનું કારણ એટલું જ કે તે ટ્રસ્ટીની દીકરી હતી. મારી લાયકાત હોવા છતાં મારો નંબર ઘણો પાછળ રહેતો. અભ્યાસમાં એની પ્રગતિ મારે કારણે નહીં પણ મારી એને કારણે હોય એમ અમારાં માબાપને પણ લાગતું. અમારાં બંનેના માબાપ વચ્ચેના ગાઢ સંબંધોને કારણે નયનાનું વર્ચસ્વ મારાં પર ખુબ હતું. એનું વર્તન તુચ્છતાભર્યું હોવા છતાં મારે ફરજીયાત એની સાથે લેશન કરવું પડતું. મારી વિદ્યાયાત્રાની શરૂઆતમાં સૌથી મોટો અવરોધ નયના હતી. બીજા શબ્દોમાં કહું તો શિક્ષણસંસ્થાની ગેરરીતી અને જ્ઞાતિવાદ હતા. હાઈસ્કૂલમાં દાખલ થઈ પછી સરકારી સ્કૂલમાં સિદ્ધાંતવાદી આચાર્યાને કારણે સારા અને સાચા ગુણાંક મળવા લાગ્યા અને નયના મારાથી દૂર થતી ગઈ. હાઈસ્કૂલ દરમ્યાન હું NCC (National Cadet Corps)ની મેંબર થઈ એ પછી ‘હિમાયલ સળગ્યો’ નામે દેશભક્તિના નાટકમાં કર્નલનો રોલ ભજવતી વખતે દેશભક્તિના બીજ રોપાયાં હતાં. સામાન્ય જ્ઞાનની હરિફાઈઓમાં ભાગ લેવાને કારણે દેશદુનિયા વિષે જ્ઞાન વધતું ગયું. સારા માર્કસ માટે ક્યારેય વધારે મહેનત કર્યાંનું યાદ નથી. ગણિત મારો સૌથી પ્રિય વિષય. હું દશમા ધોરણમાં હતી ત્યારે ગણિત-વિજ્ઞાનના શિક્ષક ભટ્ટ સાહેબની દીકરી મારાં વર્ગમાં અભ્યાસ કરતી હતી. એને ગણિત બહુ આવડે નહીં. તેની સાથે મારી પણ પ્રગતિ થાય એમ વિચારી ભટ્ટસાહેબ એક દિવસ અમારાં ઘરે આવ્યા. મારાં માબાપની મંજૂરી લઈ S.S.C. માં મને હાયરમેથ્સ રાખવા સમજાવી ફ્રી ટ્યૂશન આપવા તૈયાર થયા. કોલેજમાં ગઈ ત્યાં સુધી હું નિયમિત એમને ત્યાં જતી. તેઓ મને ગણિત શીખવતા અને હું તેની દીકરી તથા બીજી વિદ્યાર્થીનીઓને ગણિત શીખવતી. એક ઉત્તમ શિક્ષક પાસેથી શિક્ષક થવાની કેળવણી મળવાની શરૂઆત પણ ત્યારથી થઈ હતી. ભટ્ટ સાહેબે જો તે દિવસે ઘરે આવીને મને હાયરમેથ્સ રાખવા પ્રોત્સાહિત ન કરી હોત તો ગણિત ક્યારનું ય વીસરાઈ ગયું હોત. એમની આપેલી આ વિદ્યા હું આજે પણ ગણિતના વર્ગો દ્વારા વહેંચતી રહું છું. व्यये कृते वर्धत एव नित्यम् विद्या धनं सर्व धनम् प्रधानम् ॥(બધા ધનમાં શ્રેષ્ઠ એવું વિદ્યાધન વહેંચવાથી હંમેશાં વધતું રહે છે.)
તેઓએ મને ગણિત ઉપરાંત અંગ્રેજી અને વિજ્ઞાનમાં પણ મદદ કરી. યુનીવર્સીટીની વિજ્ઞાન શાખામાં અરજી કરવાની તેમણે મને પ્રેરણા આપી. મારાં જીવનનો રાહ આથી બદલાઈ ગયો. રાજકોટની મહિલા કોલેજ અને હોસ્ટેલમાં એડમીશન મળ્યું. તે સમયમાં ઘરથી લગભગ ૩૦૦ કિલોમીટર દૂર શહેરની હોસ્ટેલમાં રહીને ભણવા મોકલતી વખતે ગ્રામ્ય કન્યાના પિતાને કેટલી ચિંતા થઈ હશે તે આજે સમજાય છે. પિતાની અભ્યાસની રૂચિ મને વારસામાં મળી હતી. અમારાં વિશાળ પરિવારના બાળકોમાં કોણ ક્યાં ધોરણમાં છે તે તેને ભૂલાઈ જાય પણ જરૂર હોય તેને ભણાવવા શિક્ષક ઘરે આવે. સદભાગ્યે મારે એવી જરૂર નહોતી. કોઈ પણ વિષયની ગાઈડ ઠોઠ વિદ્યાર્થીઓ માટે હોય એવી એક માન્યતા એટલે ગાઈડ થકી ગોખણપટ્ટી નહીં, પણ સમજીને અભ્યાસ કરવાની આદત નાનપણથી પડી હતી. વેકેશનમાં શેરીના બાળકો સાથે દોડાદોડી કરવી મને ગમે નહીં તેથી ગણિતના કોયડાઓ, ઐતિહાસીક શોર્યકથાઓ અને ક્યારેક કવિતાઓ વાંચીને સમય પસાર કરતી. મારી બા એના લગ્ન પછી લખતાં વાંચતાં શીખી હતી. અમારાં સમાજમાં સામાજિક વ્યવહાર કુશળતા જેનામાં હોય તે હોશિયાર ગણાય એ રીતે હું ઠોઠ ગણાતી. સારા માર્કસનું કોઈ મૂલ્ય નહીં તેથી તેની કોઈ વિશેષ ખુશી નહીં.
૧૯૭૫માં મારાં લગ્ન થયાં. બીજા જ દિવસે મહેંદી રંગ્યા હાથે કોલેજના ત્રીજા વર્ષની પરિક્ષા આપવા હું રાજકોટ ગઈ. મારો અભ્યાસ ચાલુ રાખવા અંગે મારાં માબાપે સાસરા પક્ષ સાથે લગ્ન પહેલાં જ વાત કરી હતી. હોસ્ટેલમાં રહી બીજે વર્ષે ૧૯૭૬માં માઈક્રોબાયોલોજી વિષય સાથે B.SC.ની ડીગ્રી મેળવનાર સૌરાષ્ટ્રમાં અમારી જ્ઞાતિની હું પ્રથમ કન્યા હતી. ગર્વ સાથે જ્યારે સર્ટીફિકેટ લઈને ઘરે આવી ત્યારે બાએ કહ્યું કે “હવે તારી જવાબદારી વધે છે. આપણા અભણ સમાજમાં હવે તું ઉદાહરણરૂપ છો. એ માટે તારે વધુ ધ્યાન રાખવું પડશે. સાસરીમાં પણ બહુ સંભાળીને રહેજે. તારી કૌટુંબિક ફરજોમાં ક્યાંય ઊણપ ન આવે તે જોજે નહીંતર બીજી દીકરીઓને માબાપ નહીં ભણાવે” સંતાનોને ભણાવીએ એટલે તેઓ સ્વછંદ થઈ જાય તેવી ખોટી માન્યતા કેટલાય અભણ લોકોમાં ફેલાયેલી હતી. મારાં માબાપે મારાં માટે કંડારેલી આ કેડી પર આજે અમારાં સમાજની હજારો કન્યાઓ ચાલીને ગર્વ લે છે. ભણેલી કન્યાઓને તેમની કૌટુંબિક ફરજો પ્રત્યે ધ્યાન દોરવા એમના વડીલો મારૂં ઉદાહરણ આપે ત્યારે મારી બા ગર્વ અનુભવતી તે જોઈને મને ઘણી ખુશી થતી. કોઈ દીકરીને કોલેજમાં જવાની માબાપ ના પાડે તો મારી પાસે આવે અને વિનંતિ કરે કે હું એના માબાપને સમજાવું. ૧૯૮૧માં B.Ed.ની ડીગ્રી મેળવી ત્યારે હું બે દીકરીઓની મા બની ચૂકી હતી. ગણિત વિજ્ઞાનની શિક્ષિકા તરીકે મેં નોકરી શરૂ કરી. મારી વિદ્યાયાત્રા ચાલુ રહે તે માટે M.Ed.ના વેકેશન કોર્ષમાં મેં એડમીશન લીધું. એ માટે વેરાવળથી ભાવનગર જઈને રહેવું પડે તેમ હતું. ત્યાં રહેવાની વ્યવસ્થા તો થઈ ગઈ પણ દીકરીઓને સાચવવાની વ્યવસ્થા થઈ ન શકી. પ્રતાપને પણ એટલી રજા ન મળે એટલે વિચાર પડતો મૂક્યો. આ સાથે શિક્ષણ ક્ષેત્રે Ph.D કરવાની ઈચ્છા પણ કચડાઈ ગઈ.
અમેરીકા આવીને મેડિકલ અને પછી રીસર્ચ લેબોરેટરીમાં કામ શરૂ કર્યુ. વર્લ્ડ એજ્યૂકેશન સર્વીસીસ થકી ક્રેડ્રીટ ટ્રાંસફર કરી. બોર્ડની પરીક્ષા માટે વિજ્ઞાન વાંચવું ફરજીયાત થયું. એ દરમિયાન એક યાદગાર પ્રસંગ બન્યો. નેશવીલ, ટેનેસીની વેંડરબિલ્ટ નામની પ્રખ્યાત મેડિકલ રીસર્ચ ઈંસીટ્યૂટમાં બાળકોના હ્રદયરોગના વિશ્વવિખ્યાત ડોકટર સ્ટ્રાઉસની લેબોરેટરીમાં હું જોબ કરતી હતી. ડો. સ્ટ્રાઉસના હાથ નીચે કામ કરતો ડો. વર્નેટ મારો સુપરવાઈઝર હતો. મેડિકલ લેબોરેટરીની મારી પહેલી નોકરીના શરૂઆતના દિવસોમાં બોસ્ટનમાં સ્કોટ સાથે બનેલા બનાવનો એ સાક્ષી હતો. તેની પત્ની થાઈલેંડમાં જન્મેલી ભારતીય હતી. અમારી મૈત્રી શરૂઆતથી વિકસી હતી. અમે એકબીજાને ઘરે પણ આવતા જતાં. તે ત્યારે મેડિકલ કોલેજનો વિદ્યાર્થી હતો. હવે બાળકોના રોગોનો નિષ્ણાંત બનીને વૈજ્ઞાનિક બનવા તરફ જઈ રહ્યો હતો. મારો ભાણેજ ચૈતન્ય પણ ઈંડીયામાં બાળકોના રોગોનો નિષ્ણાત થઈને ત્યારે નવો નવો આવ્યો હતો. અમારી લેબોરેટરીમાં રીસર્ચનું કામ શીખવાની વર્નેટે તેને છૂટ આપી હતી. ચૈતન્યના કહેવા પ્રમાણે આપણા દેશમાં બાળકોના હ્રદયરોગ પરના સંશોધનની આવી તક મળવી દુર્લભ હતી. ડોક્ટર વર્નેટનું રીસર્ચ પેપર પ્રગટ થતા પહેલાં ડોકટર સ્ટ્રાઉસે ફરી ચકાસી જવાનું હતું. એમાં રીસર્ચ આસીસ્ટંટ તરીકે મારૂં પણ નામ હોવાથી મારી કસોટી થવાની હતી જેની મને ખબર ન હતી. અમેરીકાની પ્રખ્યાત હોસ્પીટલના વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકના હાથ નીચે કામ કરતાં છ ડોકટર્સની હાજરીમાં મારે મારાં કામનું વિડિયો પ્રેઝંટેશન કરવાનું હતું. તે દિવસે જીવનમાં પહેલીવાર મારાં પગ જરાં ધ્રૂજ્યા હતા. DNA એટલે શું તે હજુ ય જેમને ખબર નથી અને સમજી પણ ન શકે એવા કેટલાય સગાઓ મારાં નજીકના વર્તૂળમાં છે. હાઈસ્કૂલમાં હતી ત્યારે cloningનો વિચાર ચંદ્રની મુસાફરી જેટલો દૂર લાગે. DNA cloning થકી રંગસૂત્રોમાં ફેરફારના જે પ્રયોગો મેં કર્યા હતા તેનું સ્લાઈડ્સ સાથે વર્ણન કરવા કરી મોટાભાગના પ્રશ્નોના જવાબો હું આપી શકી. “આ બધુ આધુનિક વિજ્ઞાન તેં ક્યારે વાંચ્યું?” ડો. વર્નેટે બીજે દિવસે આશ્ચર્યથી મને પૂછ્યું હતું. દરેક બાબતમાં હું શું અને શા માટે કરૂં છું તે સાથે મારી સંભવિત ભૂલોના પરિણામો જાણવાની જીજ્ઞાસાવૃતિને કારણે જ મેં આ બધુ ગુગલ મહારાજ પાસેથી જાણ્યું હતું. પ્રયોગોના ઈંક્યૂબેશન પિરિયડ દરમ્યાન કોમ્યુટર પર હું ઓનલાઈન નિબંધો વાંચતી રહેતી. એક પ્રખ્યાત વૈજ્ઞાનિકને હું સાચા જવાબો આપી શકી તે દિવસે મારાં ગર્વનો પાર ન હતો. પર્વતની ટોચ પર હોઉં એવી ખુશી સાથે હું ઘરે આવી. ઘરે આવતા મોડું થયું હતું. અદિતિ આતુરતાથી મારી રાહ જોતી હતી. ખુશીથી તે થનગનતી હતી. બારણુ ખૂલતા જ હાથમાં પત્ર સાથે તે દોડી આવી. ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ જે યુનીવર્સીટીમાં ભણ્યો હતો તેમાં તેને એડમીશન મળ્યું હતું. મારી ખુશી એની ખુશી સાથે ભળી ગઈ. કોલેજમાં જવાના એના ઉત્સાહ નીચે મારી જોબની સફળતાની વાત સરકી ગઈ. મારી પ્રગતિને બદલે અદિતિની પ્રગતિ પર ધ્યાન આપવું જરૂરી હતું. કોલેજમાં જવાની તૈયારી માટે તેને જોઈતો સમય હું આપી શક્તી નહીં. થોડા દીવસો બાદ મેં જોબ છોડી દીધી. સમયની ખેંચ સિવાય એક બીજું કારણ એ હતું કે સંશોધન માટે ઊંદરોનો જીવ લેવાય તે હું જોઈ શક્તી નહીં. ઉનાળાના વેકેશન પછી અદિતિ યુનીવર્સીટીના કેંપસ પર રહેવા ગઈ. દીકરીઓ વગરના ઘરમાં હું સૂની પડી ગઈ. મારી દિનચર્યા બદલાઈ ગઈ. Empty nest syndrome દેખાવા માંડ્યાં.
એમાંથી બહાર આવ્યાં પછી Ph.D કરવાની ઈચ્છા મનમાં ફરી સળવળી. હવે મને ડાયાસ્પોરા ગુજરાતી સાહિત્યમાં વધુ રસ હતો. તે માટેની લાયકાત માટે માસ્ટર્સની ડીગ્રી જરૂરી હતી. મુંબઈની S.N.D.T.Universityમાં distance learning program દ્વારા ગુજરાતી લિટરેચરમાં બે વર્ષનો કોર્ષ કરી માસ્ટર્સની ડીગ્રી મેળવી. Ph.D.ની વિદ્યાર્થીની તરીકે એડમીશન અપાવવા માટે નૂતનબેન જાનીએ મારાં માટે ઘણા પ્રયત્નો કર્યાં પણ એડમીશન ન મળ્યું. યુનીવર્સીટીના સહકાર વગર પણ એમણે માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું આથી ડાયાસ્પોરા સાહિત્ય અંગે હું સ્વતંત્રપણે સંશોધન કરી શકીશ એવી આશા હતી. અચાનક નૂતનબેને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. એમની સાથે બે દિવસનો ટુંકો પરિચય છતાં મને એમના મૃત્યુની ખોટ ખુબ સાલી. એ પછી મારો રસ ગણિત ભણાવવા તરફ વળી ગયો. સાચી વિદ્યાયાત્રા હવે શરૂ થતી હતી. ઈંડીયામાં ગણિત ભણાવવાનો અનુભવ હતો છતાં કાયદાઓની આંટીઘૂંટીને કારણે મને અહીં સ્કૂલમાં ગણિત ભણાવવા માટે લાયસન્સ ન મળ્યું. આથી મેં મારાં ઘરે વર્ગો શરૂ કર્યા. થોડા સંઘર્ષ બાદ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ. કોઈ યુનીવર્સીટી ન શીખવી શકે તેવા પાઠો આ વિદ્યાર્થીઓ સાથેના અનુભવો મને શીખવે છે. ઈશ્વરના રૂપો વિશેની મારી સમજણ પણ બદલાઈ ગઈ છે. હ્રદયમાં રહેલા ભાવોના અલગ અલગ સ્વરૂપમાં સૌથી પવિત્ર સ્વરૂપ એ જ પરમ તત્ત્વ છે. બાળકોમાં મને આ જોવા મળે છે. આ સ્વરૂપને સ્થાયી કરવાના પ્રયત્નોની નિષ્ફળતામાંથી પ્રગટતા નિષેધભાવને શેતાની તત્ત્વ કહી શકાય. આ બાળકોમાં મને નવા વિશ્વના દર્શન થયા.
સ્વતંત્રતાની આ ભૂમિ પરના સ્વતંત્ર મિજાજી બાળકોના મન અહીંથી ત્યાં ઊડાઊડ થતા હોય ત્યારે ગણિતના દાખલાઓમાં તેમનું મન પરોવવું તે કેટલીકવાર લોઢાના ચણા ચાવવા બરાબર થઈ રહેતું. આ સાહસ શરૂ કર્યું તેના પહેલાં જ દિવસે પંદર વર્ષની એક અમેરીકન વિદ્યાર્થિની ભણવા બેસતાની સાથે જ ગુસ્સાથી બોલી ઊઠી કે, “હું ઠોઠ છું તે કબૂલ કરૂં છું અને મારે કંઈ શીખવું નથી માટે કાલથી તારે આવવાની જરૂર નથી.” છેલ્લાં ત્રણ મહિનામાં હું તેની પાંચમી ટ્યૂટર હતી. તેનો ગુસ્સાને અવગણી કાલની વાત કાલ પર મૂકી. જુદા જુદા પ્રકારના નંબરની વ્યાખ્યાઓથી મેં ગણિત તેને ભણાવવાની શરૂઆત કરી. થોડા દિવસો બાદ દાખલો ગણતી વખતે એને મુંઝાતી જોઈ હું કંઈ કહેવા જાઉં તો કહેવા લાગે,’’ ના…ના… મને મારી મેળે કરવા દે, જરૂર પડશે તો હું પૂછીશ.” તેને ગણિતમાં રસ જાગ્યો તેની મને ખુબ ખુશી થઈ. તેની સાથે સાથે મારો પણ આત્મવિશ્વાસ વધ્યો. બહુ ઓછા સમયમાં તે D ગ્રેડમાંથી નીકળી A સાથે પાસ થઈ. એ પછી તેની મિત્રને પણ એણે મારી પાસે મોકલી અને પ્રચાર થતો ગયો અને વિદ્યાર્થીઓમાં હું લોકપ્રિય થતી રહી.
એક વખત એક વિદ્યાર્થી પહેલા જ દિવસે પુસ્તકનો ઘા કરી ઊભો થઈ ક્લાસરૂમમાં આંટા મારવા લાગ્યો. શું કરવું તે મને સમજાયું નહીં. મૌન જ ઉત્તમ લાગ્યું. તેની મા કલાક પછી લેવા આવવાની હતી. થોડીવારમાં તે તેની મેળે જ શાંત થયો. સાથે લાવેલ પાણીની બોટલમાંથી પાણી પીને મને કહે, “સોરી, હું તમારી પર ગુસ્સે નથી. મને નથી આવડતુ એટલે અકળાઈ જાઉં છું.” શિક્ષક અકળાઈ જાય તે તો સમજાય. વિદ્યાર્થી શિક્ષક પર અકળાય તે અનુભવ પણ નવો ન હતો. પણ વિદ્યાર્થી પોતાની જાત પર પણ ગુસ્સો કરે તે સ્થિતિનો સામનો કરવાનો મારો આ અનુભવ નવો હતો. મેં તેને મદદ કરવાની ખાતરી આપી પ્રયત્ન કરવા સમજાવ્યો. દર અઠવાડીયે એકવાર તે નિયમિત આવતો રહ્યો. તેની અકળામણ અને મારી ધીરજ ક્યારેક ટકરાયાં કરતી પણ મારી ધીરજની જીત થતી. એક વર્ષ બાદ તેની મા એ એક ઈમેલમાં લખ્યું કે તેણે મને ‘ધ બેસ્ટ ટીચર’ કહી છે. સંધર્ષને અંતે સફળ થયાનો જે આત્મસંતોષ મળે છે તે અમૂલ્ય હોય છે. વિદ્યાર્થીઓ સાથેના અનેક અનુભવોએ મને જીવન વિશે ઘણું જ્ઞાન આપ્યું.
મારાં ફેમીલી ડોકટરની પુત્રી, જાણીતી બેંક ઓફીસરનો પુત્ર. અજાણ્યા ખેડૂતની પુત્રી, મિત્રના મિત્ર એવા સૈનિકનો પુત્ર, આરબ પડોશીની પુત્રી, ગુજરાતી, બંગાળી, તામિલી, પંજાબી આમ અલગ અલગ વર્ગ અને અલગ અલગ સંસ્કૃતિના બાળકો, કોઈના વંશજો રશિયાના તો કોઈના પેરૂદેશના, કોઈ ચીનથી સ્થળાંતર થયા હોય તો કોઈ ઈરાકથી, અહીંના કોઈ કાળા તો કોઈ ગોરા અમેરીકન વિદ્યાર્થીઓ……. અને તેમના વાલીઓ થકી વિશ્વબંધુત્વના શ્રેષ્ઠ પાઠો જે મને શીખવા મળ્યા તે માટે આ વિદ્યાર્થીઓ અને વાલીઓની હું આભારી છું. આ વ્યવસાય થકી મારી દ્રષ્ટિ અને હ્રદય બંને વિશાળ થયાનો મને અહેસાસ થયો. લેવા કરતાં આપવાનો આનંદ વિશેષ હોય છે તે સમજણ અનુભવે દ્રઢ થઈ.
હું ખાત્રીથી કહી શકું કે નિરાશાને કારણે હીનતા અનુભવતા વિદ્યાર્થીઓ માટે ગણિત માનસિક સારવારનું સાધન બની શકે. તામિલ શિલ્પશાસ્ત્રે ગણિતને કલાને દરજ્જો આપ્યો છે અને લખ્યું છે કે સંગીત દ્વારા ધ્વનિમાં, નૃત્ય દ્વારા શરીરમાં, કવિતા દ્વારા શબ્દોમાં, સ્થાપત્ય દ્વારા અંતરિક્ષમાં, શિલ્પ દ્વારા આકૃતિમાં અને ગણિત દ્વારા વૈચારિક દિવ્યતા પામી શકાય છે.
વ્યવસાય અને કલા પરસ્પર જોડાઈને આત્મનિર્ભર થવામાં સહાયક થાય ત્યારે આનંદની અનુભૂતિ સહજ બને છે. આ આનંદ વિદ્યાર્થીઓ સાથે વહેંચી તેમને ગણિતમાં રસ લેતા કરવાની પ્રતિબદ્ધતા સદાય જળવાઈ રહેશે તે શ્રદ્ધા વ્યવસાયને ભક્તિ સાથે જોડવાની મને પ્રેરણા આપે છે અને ભક્તિ હંમેશાં આપણને સંઘર્ષનો સામનો કરવાની શક્તિ આપે છે. હું પણ આજીવન એક વિદ્યાર્થી છું તે અહેસાસ મને શિક્ષક હોવાથી થતો રહ્યો. ઓનલાઈન શિબિરો દ્વારા ભાષાનું કૌશલ્ય કેળવવા હજુ ય ઉત્સુક છું. ભાષાશાસ્ત્રી બાબુ સુથાર કે મધુ રાય જેવા કસબીઓ પાસેથી લેશન લઈ મારી કલમની સારી રીતે ચલાવતાં શીખતી રહું.
ક્રમશઃ
-
જૂનું ઘર ખાલી કરતાં
બાલમુકુન્દ દવેફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા !
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા ![દૃગ=આંખ]
:આસ્વાદઃ
પગ ખસી ન શકે એવી ભાવસ્થિતિ~ વિનોદ જોશીગુજરાતી કાવ્યસાહિત્યની આ એક ટકાઉ સૉનેટ કૃતિ છે. ચિરંતન માનવીય ભાવોનું તેમાં વિશુદ્ધ પરંતુ કાવ્યાત્મક આલેખન થયું છે. જીવનમાં બનતી સર્વસામાન્ય ઘટનાઓ કાવ્યમાં વિષય તરીકે આવે છે ત્યારે તેને ઓગાળી દઈ તેમાંથી કવિતા નીપજાવવી બહુ કઠિન હોય છે. કલાનું જગત વાસ્તવિક જગતથી નિરાળું હોય છે એમ સ્વીકાર્યા પછી પણ વાસ્તવિક જગતનો સ્પર્શ કર્યા વિના કલા સમક્ષ પહોંચાતું નથી તે હકીકત પણ સ્વીકારવી પડે તેવી છે. આ કાવ્ય આમ જુઓ તો ઘરવખરીનો ખડકલો છે. વસ્તુ-વાનાંની સૂચિ છે. તેમાંથી વળી કવિતા કઈ રીતે નીપજે અને પણ દાયકાઓ સુધી ટકી રહે તેવી ? આપણે થોડું જોઈએ.
કાવ્યનો પ્રારંભ ‘ફંફોસ્યું’ શબ્દથી થાય છે. શીર્ષક પરથી આપણે જાણીએ છીએ કે કવિ જૂનું ઘર ખાલી કરી રહ્યા છે. ઘરવખરી ક્યાંક બીજે ઘરે ફરી રહી છે. ‘ફંફોસ્યું’ શબ્દ જ સૂચવી આપે છે કે મોટાં વસ્તુ-વાનાં તો અગાઉ મોકલાઈ ગયાં છે. હવે નાની નાની ચીજો ઘરમાં પડી છે તે એકઠી કરવાની છે. પછી એ ચીજોની યાદી શરૂ થાય છે. આપણને એવું લાગવા માંડે છે કે આ તો બધી નકામી ચીજો છે. નવા ઘરમાં જઈ રહેલા કવિને આવી-તેવી સામગ્રી ત્યાં લઈ ગયા વિના ચાલે. પણ ‘ફંફોસ્યું’ શબ્દ વાપર્યો તેનો અર્થ એ કે આ ચીજો કવિને નગણ્ય નથી, એટલું જ નહીં, પણ ચીવટપૂર્વક એ ચીજો નવાં ઘરે લઈ જવાઈ રહી છે.
શું છે એ ચીજોમાં ? જૂનું ઝાડું, ટૂથબ્રશ, લક્સ સાબુની ગોટી, મોંએથી ફૂટી ગયેલી શીશી, ટીનનું ડબલું, તળિયેથી ફૂટી ગયેલી ડોલ, તૂટેલાં ચશ્માં, ક્લિપ, બટન, ટાંકણી, સોય-દોરો. આટલી યાદી કરીને કવિએ આશ્ચર્યચિહ્ન મૂક્યું છે. શાનું છે આ આશ્ચર્ય ? આટલી બધી ચીજો હજી અહીં રહી જવા પામી હતી તેનું ? આસક્તિ અને વિરક્તિમાં ઝૂલતો કવિ હવે જે વાત કરે છે તે આમ છે :
‘લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જે
‘મૂકી ઊંધું, સુપરત કરી લારી કીધી વિદાય’પોતાના નામની આ ઘરને આપેલી ઓળખ પણ કવિએ હવે લઈ લીધી. નામનું પાટિયું ઊતારી લીધું. જાણે નામનો કોઈ અનુબંધ આ ઘર સાથે રાખવો ન હોય તે નામનું પાટિયું ઊંધું મૂકી દીધું. પોતાની એક પણ ઓળખ અહીં નહીં રહેવા દેવા માટે કટિબદ્ધ કવિ છેવટે આ બધી સામગ્રી ભરેલી લારીને વિદાય કરે છે. ‘વિદાય’ શબ્દ અહીં લારી માટે પ્રયોજાયો છે. મનુષ્ય-મનુષ્ય વચ્ચેના વ્યવહારને અભિવ્યંજિત કરતો આ શબ્દ અહીં કવિની આ સઘળી નકામી લાગતી ચીજો સાથેની આત્મીય સંગતિનો પણ સૂચક છે. નામનું પાટિયું પણ ઊતારી લીધું એ વાત આવે ત્યારે આપણને સમજાઈ જાય કે હવે કવિ પોતાના જૂના ઘરની બહાર નીકળી ચૂક્યા છે. પરચૂરણ સામાન ભરેલી લારી પણ ચાલી ગઈ છે. પણ હવે ?
ઊભાં છેલ્લી નજ૨ કરીને જોઈ લેવાં જ ભૂમિ,
‘જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો’ઘરમાંથી પોતાના સહિત બધું જ બહાર નીકળી ચૂક્યું હોય તેવી સ્થિતિમાં, ખાલી ઘરને બહા૨થી છેલ્લી વાર જોઈ લેવા કવિ અને કવિપત્ની બેઉ ઊભાં છે સરસ ‘ફોટોજેનિક’ દશ્ય છે ! આ ઘરમાં જે કંઈ હતું તે તો સઘળું ઉશેટી લીધું નામનું પાટિયું પણ લઈ લીધું. આ ઘર તો અહીંથી લઈ જઈ શકાય તેમ નથી, નહીં તો એ પણ અહીંથી ફેરવી નાખ્યું હોત ! આપણે કરેલી સ્થાપનાઓને આપણી સાથે જ વળગાડી રાખવાની આપણને કેવી સ્પૃહા હોય છે ! લગ્ન પછીનાં પહેલાં દસ વર્ષ જ્યાં મુગ્ધ દામ્પત્યનાં રંગે રંગાયાં છે તે જ આ ઘર. કેટકેટલાં ભાવનાત્મક સંવેદનો જોડાયાં હશે આ ઘરની દિવાલો સાથે ! આ દિવાલોની નિર્જીવ ઈંટોને ટહુકાઓ સ્વરૂપે માણી હશે. જે આજે આટલી રુક્ષ દેખાય છે તેનું એક વખતનું સુંવાળું સંવેદન હૈયે અનુભવાયું હશે.
પણ હવે તો આ સ્થળ છોડીને જવાનું છે. અહીંથી જ્યાં જવાનું છે તે ઘર કદાચ ઘરથી વધારે સારું હશે. પણ અહીં મુગ્ધ દામ્પત્યનો દસકો વિત્યો છે તે કવિને આ એક બીજાં સ્મરણ સુધી બળપૂર્વક ખેંચી જાય છે. આ ઘરમાં જ દેવોના વરદાનથી મળ્યો હોય તેવો પનોતો પુત્ર કવિ પામ્યા હતા અને એ પુત્રને અહીંથી જ કઠણ હૃદયે અગ્નિને ખોળે સોંપી દેવો પડ્યો હતો.
ઘરવખરી તો બધીયે લઈ લીધી. પણ જતાં જતાં આ સ્મરણ થઈ આવ્યું તેનું શું ? હજી તો આટલું યાદ આવ્યું ત્યાં જ મૃત્યુને શરણે ગયેલો એ પુત્ર જાણે બોલતો સંભળાયો :
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ‘
હવે આપણને સમજાય છે કે કાવ્યના પ્રારંભે કવિએ સાવ તુચ્છ કે નકામી ચીજવસ્તુઓની લાંબી યાદી શા માટે ખડકી દીધી હતી. પોતાનો દિવંગત પુત્ર કોઈક ખૂણેથી એકાએક ઉદ્ગાર કરીને પોતાને જ અહીંથી લઈ જવો ભૂલી જવાયાની ફરિયાદ કરે છે ત્યારે એ ફરિયાદ પેલી નકામી વસ્તુઓના સાહચર્યમાં અત્યંત તીવ્રતાથી આપણને અનુભવાય છે.
‘એક ભૂલ્યાં મને કે ?’ આ પ્રશ્નની પાછળ ‘ના કશુંય ભૂલિયાં’નો પડઘો કેવો વેધક રીતે અહીં સંભળાય છે ! શું વળગે છે અને શું વળગતું નથી તેનો અત્યંત વ્યંજનાગર્ભ મર્મ કવિ અહીં પ્રગટાવી શક્યા છે. ‘મરીઝ’ની એક ગઝલમાં આમ કહેવાયું છે :
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર
મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ.આ તો એક પ્રેમીનો ઉદ્ગાર છે. પણ વાત અહીં પણ લાગુ પડે છે. જુદા પડતી વખતે માંડેલી નજરમાંથી જ લાગણીનો પુરાવો મળે છે. કવિની પોતાના જૂના ઘર સામે મંડાયેલી છેલ્લી નજર હવે જ સાચો અનુભવ આપે છે. પોતાના વિગત બની ગયેલા પુત્રનો એ કાકલૂદીભર્યો સ્વર તો કવિના કાને સંભળાયો, પણ આંખોમાં શું થયું ?
‘ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા !’
અને એ જ ક્ષણે, અહીંથી બીજે જવા નીકળેલા કવિની ગતિને શું થયું ?
‘ઉપાડેલા ડગ ઉપર શાં લોહ કેરા મણિકા !
પણ અહીંથી ખસી ન શકે, ખોડાઈ જાય તેવી ભાવસ્થિતિમાં આવી જતા કવિને ન અહીંથી જઈ શકે, ન અહીં રહી શકે તેવી સ્થિતિમાં મૂકાઈ જવું પડ્યું. તેનો કરુણ પરંતુ અત્યંત કાવ્યકર આલેખ આ રચનામાં મળે છે. મંદાક્રાંતાનો ઉચિત વિનિયોગ તો બરાબર પણ ગુજરાતી સૉનેટ કવિતાએ ક્યારેય નહીં અપનાવેલી શબ્દાવલિનો પણ આ કાવ્યની વ્યંજકતામાં સુંદર ઉપચય થયો છે તે નોંધવું પડે તેમ છે.
‘કાવ્યવિશ્વ’ ના આભાર સાથે.. -
યુધ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
નિસબત
ચંદુ મહેરિયા
આમ તો દુનિયાના પાંચ- પચીસ દેશો રશિયા, યુક્રેન, ઈઝરાયેલ,ગાઝા, અમેરિકા, ઈરાન, ઈરાક, લેબનોન, ખાડી દેશો, પાકિસ્તાન,અફઘાનિસ્તાન વચ્ચે જ સીધું યુધ્ધ ચાલે છે.પરંતુ તેની અસર એટલી વ્યાપક છે કે આખો વૈશ્વિક માહોલ યુધ્ધોન્માદી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં, પશ્ચિમ એશિયાની સ્થિતિ ચિંતાજનક છે અને વર્તમાન સ્થિતિનો સામનો કરવા દેશવાસીઓએ કોવિડ મહામારીની જેમ તૈયાર રહેવું પડશે.
આ પ્રકારના વાતાવરણમાં કોઈ દેશ શાંતિના જાપ જપતાંજપતાં પણ પોતાની સરહદો સલામત રહે તે માટે વિચારતો જ રહે છે. મે-૨૦૨૫ના ઓપરેશન સિંદૂરના તાજા અનુભવ અને તે પૂર્વે ભારત- ચીન સરહદે અશાંતિ પછી ભારતના સંરક્ષણ બજેટમાં પંદર ટકાનો મોટો વધારો તેનું જ પરિણામ છે. ચીન અને પાકિસ્તાન જેવા વસમા પાડોશીઓ સાથે ભારતનો પનારો પડ્યો છે. અટલજી કહેતાં એમ આપણે ઈતિહાસ બદલી શકીએ છીએ પણ ભૂગોળ નહીં. એટલે રાષ્ટ્રીય સુરક્ષા માટે પૂરતી જોગવાઈ કરવી પડે છે. વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં સંરક્ષણ મંત્રાલય માટે રૂ. ૭.૮૫ લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જીડીપીના બે ટકા જેટલી આ જોગવાઈ સંરક્ષણ મંત્રાલયની ભૂતકાળના અનેક વરસો કરતાં તો તે ઘણી વધારે છે જ આ વરસે કેન્દ્રના તમામ મંત્રાલયોમાં સૌથી મોટી બજેટ જોગવાઈ પણ તે છે. શિક્ષણ, આરોગ્ય, પાણી, મૂળભૂળ સવલતોને બદલે ભાવિ યુધ્ધની તૈયારી માટે નાગરિકોના કરના નાણાં રોકવા પડે તે મોટી વિડંબના છે.
ભારતીય સૈન્યની શક્તિમાં વૃધ્ધિ કરવી, સંરક્ષણ ક્ષમતાને મજબૂત કરવી, સેનાનું આધુનિકીકરણ કરવું, સંરક્ષણ વિનિર્માણના ક્ષેત્રમાં રોજગારની તકો ઉભી કરવી, દેશને સ્વદેશી સંરક્ષણ ઉત્પાદકોનું વૈશ્વિક કેન્દ્ર, બનાવવો, સંરક્ષણ સાધનોની આયાત ઘટાડવી, પૂર્વ સૈનિકોના કલ્યાણ માટેના પગલાં લેવાં તથા સંરક્ષણ સંશોધન અને વિકાસના ઉદ્દેશ સાથે સંરક્ષણ મંત્રાલયના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. અંદાજપત્રમાં આયાત પરની નિર્ભરતા ઘટે, સ્વદેશી રક્ષા ઉત્પાદનોની ખરીદી વધે અને સરવાળે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બની શકાય તે હેતુથી ઘરેલુ સંરક્ષણ ઉત્પાદનોની ખરીદી માટે જ રૂ. ૧.૩૯ લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
૨૦૨૬-૨૭ના ભારત સરકારના અંદાજપત્રમાં સંરક્ષણ મંત્રાલય માટેની જે બજેટ જોગવાઈ છે તેમાં ૨.૨ લાખ કરોડ મૂડીખર્ચ પેટે છે. રક્ષા મંત્રાલયના આ વરસના બજેટનો આ ૨૮ ટકા હિસ્સો છે. મૂડી ખર્ચ એટલે ઈમારતો, પુલો, હવાઈ પટ્ટી, સુરંગોનું નિર્માણ, નવી પેઢીના અને સેના માટે અનિવાર્ય એવા સંરક્ષણ સાધનોની ખરીદી કરવી, સબમરીન, માનવરહિત ડ્રોન, મિસાઈલ્સ, નૌસૈનિક પ્લેટફોર્મ્સ, ઉન્નત હથિયારો વગેરેની ખરીદી કરવી તથા તેના નિભાવ અને સાચવણી માટેનો ખર્ચ કરવો.
સામાન્ય વરસોના ડિફેન્સ બજેટમાં મોર્ડનાઈઝેશનના હેડે ૧૦ ટકા રકમની ફાળવણી થતી હતી.પરંતુ આ વરસના અંદાજપત્રમાં તેમાં વિક્રમી ૨૪ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂર જેવી એર સ્ટ્રાઈક માટે લાંબા અંતરની મિસાઈલ્સ અને ડ્રોનની અનિવાર્યતા છે. નૌસેનાની સમુદ્રની અંદરની ક્ષમતા પણ વધારવાની જરૂર છે. પાકિસ્તાન સામેની એર સ્ટ્રાઈકમાં વપરાયેલા અને બરબાદ થયેલા વિમાનો અને બીજા સાધનોની ભરપાઈ પણ કરવાની છે. રાફેલ વિમાનોનો વધુ જથ્થો પણ ખરીદવાનો છે. સેનાના આધુનિકીકરણ માટેની બજેટ જોગવાઈનો પોણો ભાગ આત્મનિર્ભર ભારત હેઠળ દેશના અંદરના સરકારી અને ખાનગી ઉત્પાદકો પાસેથી ખરીદવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે.
યુધ્ધો અતિખર્ચાળ અને માનવ સંહારક હોય છે તે વાત હવે હોઈથી છાની નથી. ઈરાન સાથેના હાલના યુધ્ધમાં એકલા અમેરિકાના જ રોજના આશરે ૧૫ હજાર કરોડ રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. ભારતનું સંરક્ષણ બજેટ આ સદીના આંરભે( ૨૦૦૦-૨૦૦૧) લગભગ રૂ.૦.૫૯ લાખ કરોડનું હતું જે આજે રૂ. ૭.૮૫ લાખ કરોડનું થયું છે.એટલે કે તેમાં ૧૨૪૦ ટકાનો વધારો થયો છે. ૧૯૬૦ થી ૨૦૨૪માં ભારતનો સંરક્ષણ ખર્ચ જીડીપીના ૩ ટકા હતો. ભારત સાથે ચાર યુધ્ધ લડી ચૂકેલા પાકિસ્તાનનો ૫ ટકા અને જગતજમાદાર અમેરિકાનો લગભગ પાકિસ્તાન જેટલો ૫.૩ ટકા હતો. યુનાઈટેડ કિંગ્ડમ(યુ.કે) નો ૪ ટકા જ્યારે ચીનનો માત્ર ૧.૮ ટકા હતો. ૨૦૧૭માં ભારતનું સંરક્ષણ બજેટ ૬૮ અરબ ડોલર, ચીનનું ૫૬૨ અરબ ડોલર અને અમેરિકાનું ૬૪૭ અરબ ડોલર હતું.. આ આંકડાકીય હકીકતો યુધ્ધો કેટલાં મોંઘા હોય છે અને સંરક્ષણ જરૂરિયાતો પૂરી કરવામાં દેશના વિકાસ કામો માટે નાણાં બચતાં નથી તે દર્શાવે છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી ભારત ચીન અને પાકિસ્તાન જેવા વસમા દેશોનો પાડોશ ધરાવે છે. વળી તેના લગભગ બધા જ પાડોશી દેશોમાં અશાંતિ અને હિંસા સતત જોવા મળે છે. ભારતનું સંરક્ષણ બજેટ ચીન કરતાં ઘણું ઓછું છે પરંતુ પાકિસ્તાન કરતાં ઘણું વધારે છે. તેનું કારણ યુધ્ધની સંભાવના અને સરહદોની સલામતી છે. ૨૦૨૫માં ચીનનું સંરક્ષણ બજેટ ૨૪૬ અરબ ડોલરનું હતું. તે સ્થિતિમાં ભારતે યુધ્ધ તત્પરતા અને તૈયારી માટે ખર્ચ કરવો પડે છે.
ડિફેન્સ સેક્રેટરીએ તાજેતરમાં સંરક્ષણ બાબતોની સંસદની સ્થાયી સમિતિ સમક્ષ એકરાર કર્યો છે કે તેમણે નાણાં મંત્રાલય સમક્ષ કેપિટલ બજેટમાં ૨૦ ટકાની વૃધ્ધિની માંગણી કરી હતી. પરંતુ તેમને તેથી પણ વધુ ૨૪ ટકાની વૃધ્ધિ મળી છે. પરંતુ વિશ્વમાં બદલાયેલા યુધ્ધોનાં સ્વરૂપો જોતાં સંસદીય સમિતિ સમક્ષ તેમણે દર વરસે રક્ષા બજેટમાં ૨૦ ટકાની વૃધ્ધિ જાળવી રાખવા ભલામણ કરવા વિનંતી કરી છે. તેમની માંગણી વાજબી જ હશે અને દુનિયામાં જે યુધ્ધોનો માહોલ છે તે સંદર્ભે કદાચ સરકારને પણ આવી વૃધ્ધિ કરવી જરૂરી લાગે. તેથી તેની અસર દેશના અન્ય વિકાસ કામો પર નહીં જ પડે તેમ કહી શકાતું નથી.
રાજ્યો અને કેન્દ્રના બજેટનો મોટો હિસ્સો કર્મચારીઓ-અધિકારીઓના પગાર અને પેન્શન માટે હોય છે. રક્ષા મંત્રાલય પણ તેમાંથી બાકાત નથી. પરંતુ ૨૦૨૨થી સેનામાં અગ્નિપથ યોજના અમલી બનતાં પગારનો ખર્ચ ઘટી રહ્યો છે. ૨૦૧૯-૨૦માં પગાર ખર્ચ ૩૦ ટકા હતો જે ૨૦૨૬-૨૭માં ૨૨.૪ ટકા થવાનો છે. પગાર ઘટાડાથી રાજી થતાં પૂર્વે વિચારવાનું એ રહે છે કે પગાર ઘટાડાની અસર સેનાની ક્ષમતા પર પડશે કે નહીં? બજેટ જોગવાઈમાં માતબર વધારાની કસોટી તેના કુશળતાપૂર્વકના અમલમાં રહેલી છે. આત્મનિર્ભર ભારત અને સ્વદેશીના ખ્યાલો ખોટા નથી પરંતુ સંરક્ષણ સાધનોની માંગ પ્રમાણે ઉત્પાદન થશે કે કેમ અને સમયમર્યાદામાં થશે કે કેમ તે પણ મોટો સવાલ છે.
વસુધૈવ કુટુંબ કમ અને યુધ્ધ નહીં બુધ્ધ સહીમાં માનનારી ભારત ભૂમિને તેની સરહદો સાચવવા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે કેટલો મોટો ખર્ચ કરવો પડે છે તેનો વિચાર અને ચર્ચા દુ:ખદ છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
જીવનનો સ્ટૉક લેવાની તૈયારી
મંજૂષા
વીનેશ અંતાણી

દુનિયાને જોવા અને સમજવા માટે કેટલાક લોકો લાંબા પ્રવાસમાં નીકળી પડે છે. એમણે કાપેલા પંથ વિશે, માર્ગમાં મળેલા અનુભવો વિશે અને આગળની દિશા વિચારવા માટે તેઓ થોડાથોડા સમયે ઊભા રહે છે. એ જ રીતે આપણે પણ થોડાથોડા સમયે આપણા જીવનના ઉદ્દેશ, સફળતા, નિષ્ફળતા વિશે વિચારવું જોઈએ. અંગત જાતતપાસની સાથે દુનિયા કઈ દિશામાં જઈ રહી છે એની સમગ્રલક્ષી વિચારણા પણ કરતા રહેવું જોઈએ.
આપણે એકવીસમી સદીનાં પહેલાં પચીસ વર્ષોનો પડાવ પાર કરી ચૂક્યા છીએ. ધ્યાનથી જોશું તો આજની દુનિયા કોઈ સ્થિર નકશા જેવી જણાતી નથી. કેલિડોસ્કૉપની જેમ એની ભાતો બદલાતી રહે છે. વ્યક્તિગત જીવનમાં પણ એવું જ બની રહ્યું છે. બદલાતાં દૃશ્યોની ઝડપ એટલી બધી વધારે છે કે સાચું ચિત્ર મેળવવું મુશ્કેલ બની જાય છે. માનવોએ જુદાંજુદાં ક્ષેત્રોમાં અસાધારણ પ્રગતિ કરી છે. ટેક્નોલોજી અને વિજ્ઞાને માનવજીવનને પૂરેપૂરું બદલી નાખ્યું છે. તબીબીક્ષેત્રમાં નવાંનવાં સંશોધનો અને શોધોથી અસાધ્ય બીમારી પર કાબૂ મેળવવાની સંભાવના વધી છે. વાહનવ્યવહારમાં થયેલી પ્રગતિથી આજે દુનિયાના કોઈ પણ સ્થળે વિનાવિલંબે પહોંચી શકાય છે. કોમ્યુનિકેશન ટેક્નોલોજીની હરણફાળથી ક્ષણવારમાં વિશ્વના કોઈ પણ સ્થળમાં વસતા લોકો સાથે જોડાઈ શકાય છે.
આટલી વિરાટ પ્રગતિ થઈ હોવા છતાં ઘણા સંવદેનશીલ અને બૌદ્ધિક લોકોને લાગે છે કે આપણે કશુંક ખૂબ અગત્યનું ચૂકી ગયાં છીએ. ટેક્નોલોજીએ અનેક સુવિધાઓ પૂરી પાડી છે, પરંતુ લોકો માનસિક શાંતિ મેળવી શકતા નથી. માનવજાત પાસે શક્તિશાળી યંત્રો છે, છતાં લોકોના જીવનમાં બેચેની. ચિંતા, અધૂરપ અને અસંતોષનું પ્રમાણ વધ્યું છે. આજે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા જેવી સગવડોને કારણે એકમેકની સાથે જોડાયા છીએ, છતાં એકલા પડી ગયા હોઈએ એવી લાગણી કોરી ખાય છે. માહિતીઓના ધોધની વચ્ચે સત્ય અને જૂઠને અલગ તારવવાં લગભગ અશક્ય બની ગયું છે. આ પ્રકારના અનેક વિરોધાભાસોના વર્તમાનમાં એક ધારદાર પ્રશ્ન સામે આવીને ઊભો રહે છે કે આપણે બધી રીતે સમૃદ્ધ થયા, છતાં ભીતરથી ખોખલા થઈ ગયા હોઈએ એવું કેમ લાગે છે?
એક યુવતી મહત્ત્વના પ્રોજેક્ટ માટે રિસર્ચ કરતી હતી. એ માટે એણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રેરિત માધ્યમોનો ઉપયોગ કરી ઘણી આવશ્યક માહિતીઓ મેળવી. એના આધારે એણે બહુ ઓછા સમયમાં એના પ્રોજેક્ટનો મુસદ્દો તૈયાર કરી લીધો. પછી એ મુસદ્દો વાંચવા બેઠી ત્યારે વિચિત્ર પ્રકારનું ખોખલાપણું અનુભવવા લાગી. એને થયું, એમાંનું કશું એણે પોતે તૈયાર કર્યું નથી, કોઈ બીજા પાસે તૈયાર કરાવ્યું છે. એને મનથી બહુ ખરાબ લાગ્યું કે એણે પોતાની આવડત અને જ્ઞાનને બાજુમાં મૂકી જાતને આઉટસોર્સ કરી દીધી અને જાત સાથે છેતરપીંડી કરી. એ યુવતી પોતાને કોઈ અજ્ઞાત બળને હવાલે કરી દેવાનો અપરાધભાવ સહન કરી શકી નહીં. એણે એ.આઈ. પાસે તૈયાર કરાવેલા પ્રોજેક્ટનો ડ્રાફ્ટ ફાડી નાખ્યો અને જાતે રિસર્ચ કરી પ્રોજેક્ટ પૂરો કર્યો ત્યાર પછી જ એને શાંતિ થઈ.
એવું જ ખોખલાપણું જીવનનાં લગભગ બધાં ક્ષેત્રોમાં ફેલાયું છે. એક સમયે સંયુક્ત કુટુંબો આપણી સામાજિક વ્યવસ્થાનાં આધારસ્તંભ હતાં. આજે સંયુક્ત કુટુંબની ભાવના સંકોચાઈ ગઈ છે. કુટુંબો નાનાંનાનાં એકમોમાં વેરવિખેર થઈ ગયાં છે. ટેક્નોલોજીએ અરસપરસ સંવાદની પદ્ધતિ બદલી નાખી છે. સોશિયલ મીડિયા લોકોને જોડે છે તો તોડે પણ છે. સંબંધો રાતોરાત મજબૂત બનતા નથી, એનાં મૂળ દૃઢ કરતાં વર્ષો લાગે છે, એ સાદું સત્ય ભુલાઈ ગયું છે.
ડિજિટલ યુગમાં અનેક નવી તકો ઊભી થઈ છે, પરંતુ લોકોનું ધ્યાન ક્ષુલ્લક અને બિનજરૂરી બાબતોમાં ગૂંચવાઈ ગયું છે. વિકાસના નામે માનવોએ પ્રકૃતિનો વિનાશ કરી નાખ્યો. જંગલો ઊજડી ગયાં, નદીઓ પ્રદૂષિત થઈ ગઈ. હવા શ્ર્વાસ લેવા માટે શુદ્ધ ન રહી. માનવસમાજમાં ફાટફૂટ પાડવાનું વલણ પણ એક જાતનું પ્રદૂષણ છે. સામાજિક અને ધાર્મિક વિખવાદોથી માણસ માણસ વચ્ચેનું અંતર વધવા લાગ્યું છે. આજે બધાંને માત્ર પોતે જ બોલવું છે, બીજાને સાંભળવાની તૈયારી નથી. મુક્ત વાતાવરણમાં વૈચારિક આદાનપ્રદાનના માર્ગો બંધ થવા લાગ્યા છે. આર્થિક અસમાનતા વધી છે. શ્રીમંતો વધારે શ્રીમંત અને ગરીબો વધારે ગરીબ થવા લાગ્યા છે. આ પ્રકારના સામૂહિક પ્રશ્નોનો સામનો લોકો અંગતજીવનમાં પણ કરી રહ્યા છે. સફળતા પાછળ આંધળી દોટમાં જીવનનો મૂળ હેતુ ચુકાઈ ગયો છે. સફળતાનો અર્થ માત્ર ભૌતિક સુખસુવિધા મેળવવાના પ્રયત્નોમાં જ સમાઈ ગયો છે. લોકો અંગત જીવનમાં સંબંધોની પવિત્રતા ભૂલવા લાગ્યા છે. એક પરિસ્થિતિનો સામનો કરવા જતાં મૂંઝવી નાખે એવી બીજી પરિસ્થિતિઓ સામે આવી જાય છે. જીવનનો લય ખોરવાયો છે. બેફામ ગતિના ગાંડપણમાં ઠરેલ બુદ્ધિ, લાગણીનું ઊંડાણ અને નૈતિક જવાબદારીઓનો ભોગ લેવાઈ રહ્યો છે.
વર્તમાન પરિસ્થિતિનું સરવૈયું કાઢતા રહેવાથી જીવનમાં સાચી દિશા મળે છે. આધુનિક માનવસભ્યતા સામે ઊભા થતા પડકારો માત્ર ટેક્નોલોજીના વિકાસથી જ નહીં, બાહ્ય પ્રગતિ અને આંતરિક વિકાસની વચ્ચે સમતોલન જાળવવાથી ઉકેલી શકાશે. માનવચિત્તમાં સમભાવ જાગે, કરુણા વિકસે, માનવમૂલ્યો જળવાય અને જૂની પેઢીનું ડહાપણ ફરી મેળવી શકાય તો આપણી અંદર વારંવાર અનુભવાતા ખાલીપણાંને ભરી શકાય. આંતરિક વિકાસ પણ વૈજ્ઞાનિક શોધો અને ટેક્નોલોજીના જાદુ જેટલો જ જાદુઈ છે.
માનવોની સામૂહિક અને અંગત યાત્રામાં ડગલેને પગલે નવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. કોઈએ કહ્યું છે કે સવાલો એના એ જ હોય, પરંતુ એના જવાબ દરવખતે જુદા મળે છે. થોડાથોડા સમયે ઊભા રહી શાંતચિત્તે વિચારવું જોઈએ કે આપણે શું યોગ્ય કરી શક્યા અને ક્યા ખોટા માર્ગે વળ્યા? સાથેસાથે જાતને એ પણ પૂછવું જોઈએ કે આપણે આપણાં સંતાનોને કેવી દુનિયા વારસામાં આપી જવા માગીએ છીએ?
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
કુદરતી ધુમાડો વાતાવરણને શુદ્ધ કરી શકે?
સ્વરૂપ સંપટ

કચરો અને પ્લાસ્ટિક બાળવાથી થતા ધુમાડાથી આપણી આસપાસના પર્યાવરણને, વાતાવરણને અને શરીરને નુકસાન થાય છે. જરા વિચારો!
૨૦૭માં જર્નલ ઓફ એથનોફાર્માકોલોજીમાં પ્રકાશિત એક અભ્યાસમાં સંશોધકોએ લાકડાંની સાથે ઔષધીય વનસ્પતિઓનું દહન કરવામાં આવે છે તેને ‘મેડિસિનલ સ્મોક’ એવું નામ આપેલું. આની તપાસ સાવ સરળ હતી : કુદરતી ધુમાડો વાતાવરણને શુદ્ધ કરી શકે? એક ઓરડાને કલાક માટે બંધ કરવામાં આવે તો હવામાં રહેલા જીવાણુઓની સંખ્યા માત્ર ૬૦ મિનિટમાં ૯૪ ટકા જેટલી ઘટી જાય. આમાં ક્યાંય પર્ફ્યૂમ નહોતું, તે સૂક્ષ્મ જીવાણુઓના પ્રમાણમાં ઘટાડો હતો. વધારે આશ્ચર્યની વાત એ છે કે તેની અસર થઇ – એ જગ્યા ચોવીસ કલાક માટે ખરા અર્થમાં સ્વચ્છ રહી. એક ખુલ્લા ઓરડામાં ચોક્કસ રોગજન્ય જીવાણુઓ રહેલા હોય છે તે પ્રારંભમાં માત્ર ૩૦ દિવસ ખુલ્લો રાખતા ગાયબ થઇ જાય છે.
અત્યારે જ્યારે સ્વચ્છતા માટે સ્પ્રે કરવામાં આવે છે. સંશોધનો દર્શાવે છે કે વિશિષ્ટ છોડ-પાન આધારિત ધુમાડો કરવાથી ગમે તેવા જીવાણુઓ હોય, તે દૂર થઇ શકે છે. છોડનું વૈવિધ્ય અને માનવ રોગજન્ય જીવાણુ બંધિયાર વાતાવરણમાં હોય તે દૂર થાય છે. આ બાબત આપણી આધુનિક માન્યતા મુજબ વિચાર કરતા કરી મૂકે છે કે ફિલ્ટરેશન પદ્ધતિ અને કેમિકલ ફોર્મ્યૂલેશન્સથી હવાની ગુણવત્તા સુધરે છે.
સનાતન ધર્મમાં આગનો અર્થ અગ્નિ છે, માધ્યમ છે, સંદેશવાહક છે, શુદ્ધ કરનાર છે. સદીઓથી હોમ, હવન, યજ્ઞ કરવામાં આવે છે તેના પવિત્ર અગ્નિમાં ઘી, લીમડાનાં પાન, કપૂર, ચંદન, છાણાં જેવાં વિશિષ્ટ તત્ત્વોનો સમાવેશ થાય છે. આ તમામ સામગ્રીને સંભાળપૂર્વક તૈયાર કરી, ઓષધીઓના મિશ્રણ અને રાળનો પરંપરાગત રીતે જણાવાયેલો હોય તે રીતે ઉપયોગ થાય છે. એક વાર મારા ઘરમાં નાનકડી પૂજાનું આયોજન કર્યું હતું. હવનકુંડ નાનો હતો અને રૂમમાં સૂર્યપ્રકાશ સારો હતો. કોઇ દીવાસળી અને કાગળોનો ઢગલો લઇ આગ પેટાવવા ગયું. ત્યારે પંડિતે તેમને વિનમ્રથી કહ્યું, ‘આવી નકામી વસ્તુઓથી અગ્નિ પ્રજ્વલિત ન કરશો. તેના માટે જે યોગ્ય હવન સામગ્રી હોય તે જ નાખવાની.’ અગ્નિ માટે કરાયેલા આગ્રહ અનુસાર શુદ્ધ રહ્યો. રિવાજ મુજબ તેમાં ઉમેરાતાં તત્ત્વોને કારણે અગ્નિની જ્વાળાઓ સહેજ ઝાંખી લાગી. એ વખતે લાગ્યું કે વૈદિક ભાષામાં રસાયણશાસ્ત્રની સમૃદ્ધિ અભિવ્યક્ત થઇ હતી.
તમે શું બાળો છો તે મહત્ત્વનું છે. પ્લાસ્ટિક બાળવાથી ઝેરી પ્રદૂષકો ઉત્પન્ન થાય છે. કેટલાક કાગળ હાનિકારક રાસાયણિક પદાર્થોનું ઉત્સર્જન કરે છે. તમાકુના ધુમાડામાં નુકસાનકારક તત્ત્વો રહેલાં હોય છે, પણ ચોક્કસ પ્રકારનાં લાકડાં અને ઔષધીય ગુણ ધરાવતી વનસ્પતિઓ જ્યારે નિશ્ચિત રીતે સગળાવીએ છીએ, ત્યારે એન્ટિમાઇક્રોબિયલ અસરો સાથે વિવિધ સંમિશ્રણ ઉત્પન્ન કરે છે. ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ સદીઓથી ધૂમ્ર સમારંભોનું આયોજન કરે છે. તેનાથી જમીન શુદ્ધ થાય છે અને નુકસાન થતું અટકાવે છે. મૂળ અમેરિકાની કેટલીક જાતિઓ ઋષિઓની સૂચના અનુસાર ધુમાડો કરે છે. દરેકમાં છોડની પસંદગી ચોક્સાઇથી થાય છે.
આપણે આધુનિક જમાનાના વિચારોમાં આને પ્રતીકાત્મક રીતે સમજીએ છીએ, પરંતુ તેના અંગે થયેલાં સંશોધનનો સૂચવે છે કે તેનું એક પરિમાણ છે કે શુદ્ધિકરણ સારી રીતે. એવા માપમાં થવું જોઇએ કે જેનાથી હવામાં રહેલાં જીવાણુઓમાં ઘટાડો થાય. આમાં શહેરના એપાર્ટમેન્ટને ધુમાડાથી ભરી દેવાની વાત નથી. અનિયંત્રિત બાયોમાસ સળગાવવાથી થતા પ્રદૂષણથી ઘરની હવા જોખમાવાથી સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓ થાય છે.
આપણે ઘણા સમયથી નિશ્ચિત રિવાજો અને વિજ્ઞાન સાથે બંધાયેલા છીએ – તેને રક્ષણાત્મક માનીએ છીએ અને અન્ય પ્રત્યેની સંવેદનશીલતા દાખવવામાં થોડી કંજૂસાઇ કરીએ છીએ. સનાતન ધર્મ અગ્નિને મંત્રોચ્ચાર સાથે પ્રગટાવે છે, પ્રજ્વલિત કરે છે અને આદરપૂર્વક ઓલવાઇ જાય છે. હવન કે યજ્ઞ માટે સમિધ એટલે યજ્ઞમાં હોમવાને માટે પવિત્ર ગણાયેલી આકડો, ખાખરો, ખેર, અધેડો, પીપળો, ઉમરો, વડ, પીંપર, બીલી, ખીજડો, ધ્રોકડ અને દર્ભ વનસ્પતિઓનાં સૂકાં લાકોટિયાં, છોડિયાં કે તણખલાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચંદનની સુગંધ, કપૂરની તીવ્રતા, ગૂગળ; આ બધાં તત્ત્વોનું સંયોજન છે.
આધુનિક ઘરોમાં ઇલેક્ટ્રિક ડિફ્યુઝર્સ અને એન્ટિમાઇક્રોબાયલ સ્પ્રે ખરીદાય છે. પ્રાચીન જમાનાના ઘરમાં નાનકડો ચબૂતરો બનાવાતો અને તેમાં આંબો વાવવામાં આવતો અને ઉપયોગી ઔષધિઓના છોડ પણ વાવવામાં આવતા. એક નરમ, કૂમળો છોડ અને બીજું મોટું વૃક્ષ. એકની મનમોહક સુગંધ અને બીજામાં માટીની મહેક. બંને એક જ બાબતમાં સમાન રહેતાં – એ જગ્યાને સ્વચ્છ, શાંત અને સલામત રાખવી. નિશ્ચિત ઓર્ગેનિક તત્ત્વોના સંયોજનનું નિયંત્રણ હવાના શુદ્ધિકરણ માટે હતું.
કદાચ ભવિષ્ય પ્યોરિફાયર અને પ્રાર્થના વચ્ચે નથી રહેલું પણ પ્રાર્થના શું છે તે જાણવામાં રહેલું છે. આજે આપણે એવા જમાનામાં જીવીએ છીએ જ્યાં સ્ટરીલાઇઝેશનનું પ્રમાણ તીવ્ર છે. આપણે ફ્લેટમાં ફોગિંગ કરાવીએ છીએ, સપાટીઓને સેનિટાઇઝ કરીએ છીએ, હવાને ફિલ્ટર કરીએ છીએ. ૨૦૦૭થી થયેલો એક અભ્યાસ સૂચવે છે કે કલાક સુધી ચોક્સાઇથી લીધેલા મેડિસિનલ સ્મોકથી હવામાં રહેલા જીવાણુઓના પ્રમાણમાં ૯૪ ટકા જેટલો ઘટાડો થાય છે અને તેની અસર સુગંધિત એરોસોલ કરતાં લાંબો સમય ટકે છે. આડેધડ જે ધુમાડો કરવામાં આવે છે, તે જોખમી અવશ્ય છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખિકા, ડૉ. સ્વરૂપ સંપટ,ની કોલમ ‘સ્વરૂપ Says ’ માં પ્રકાશિત લેખ
-
ખંડિત પ્રતિમા
‘વાર્તાઃ અલકમલકની’ શ્રેણીમાં સુશ્રી રાજુલબેનની વેબ ગુર્જરી પર પ્રકાશિત થઈ રહેલી આ ૧૦૦મી અનુવાદિત વાર્તા છે.
આપણને સૌને અનેકવિધ લેખકોની વિધ વિધ વિષયોનો આસ્વાદ કરાવતા આવા અસ્ખલિત પ્રવાહમાં વહેતાં રાખવા બદલ વેબ ગુર્જરી સુશ્રી રાજુલબેનનો હાર્દિક આભાર માને છે.
સંપાદક મડળ – વેબ ગુર્જરી
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
પુરાતત્વ વિભાગમાં ખળભળાટ ફેલાયો હતો.
કોઈ પ્રાચીન પ્રતિમાઓની ચોરી કરે એ સમજાય, ચોરી કરીને વેચી દે એ સમજાય, પણ આ તો અનહદ કૌતુકની એવી વાત બની હતી જે સાવ નિયમ બહારની ઘટના હતી. કાયદો હાથમાં લેનાર અન્ય કોઈ નહીં, પણ વર્ષોથી મ્યૂઝિયમની સાચવણી માટે નિયુક્ત કરેલ રામસિંહ હતો.
પુરાતત્વ ખાતાના અધિકારી કશ્યપજી તાબડતોબ ભોપાલથી સાંચી પહોંચ્યા. સાંચીના મ્યૂઝિયમમાં ખાતાના અન્ય અધિકારીઓની સાથે રામસિંહ હાજર હતો.
કશ્યપજીએ જોયું કે, મ્યૂઝિયમમાં મૂકેલી પ્રાચીન પ્રતિમાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું.
“આવી બેહૂદી અને ગેરકાનૂની હરકત કોણે કરી છે?”
ક્રોધાવેશમાં ઊંચો થયેલા કશ્યપજીના અવાજથી જાણે એ ઓરડાની દીવાલો સુદ્ધાં ખળભળી ઊઠી. હાજર સૌ અધિકારીઓની નજર રામસિંહ તરફ હતી.
“રામસિંહ, આ મ્યૂઝિયમની જવાબદારી તમારા માથે હતી. વીસ વીસ વર્ષથી તમે આ જવાબદારી ખૂબ ચોકસાઈથી સંભાળી છે. આજ સુધી પ્રતિષ્ઠિત કહી શકાય એવી તમારી કારકિર્દી હતી. હવે રહી રહીને નિવૃત્ત થવાના સમયે આવી હરકત…?
“જાણો છો, તમારા આ કૃત્યથી મંત્રીથી માંડીને પ્રેસને મારે જવાબ આપવો પડશે?
“અત્યારે ને અત્યારે આ ઓરડો સીલ કરીને મારી ઑફિસમાં આવો.” કહીને કશ્યપજી લાંબી લાંબી ડાંફો ભરતા ઑફિસ તરફ ચાલવા માંડ્યા.
વાત એમની સાચી હતી. રામસિંહના પિતાજી અહીં કામ કરતા હતા ત્યારથી એ રામસિંહને ઓળખતા હતા. શૈશવકાળમાં એ રામસિંહ સાથે સાંચીના પત્થરો અને સ્તૂપની વચ્ચે ફરતા ત્યારે રામસિંહ કશ્યપજીને કહેતા, “બાબુજી, આ પત્થરો આપણને કંઈક કહે છે.”
“પત્થરો બોલે છે એવું કહેનાર તો તું પહેલો નીકળ્યો.” કશ્યપજી હસી પડતા.
અને પછી બંને વચ્ચે ચર્ચા થતી.
રામસિંહનું માનવું હતું કે પશુ-પંખીની જેમ પત્થરોની ભાષા હોય. કશ્યપજી એને પત્થરનું વિજ્ઞાન સમજાવતા. પણ, લાગણી અને બુદ્ધિ, દિલ અને દિમાગ વચ્ચે ક્યારેય મેળ નહોતો બેસતો. કશ્યપજીની તાર્કિક વાત સાથે રામસિંહની લાગણીઓને કોઈ લેવાદેવા નહોતી. ક્યારેક કશ્યપજીને સવાલ થતો કે, રામસિંહ પત્થરોની ભાષા જાણતો કે સમજતો હશે !
સમય જતા પુરાતત્વ અને ઇતિહાસનો અભ્યાસ કરીને કશ્યપજીએ દેશ-વિદેશ ફરીને પુરાતત્વ પર સંશોધન આદર્યું જેનાં લીધે એમને નામ અને દામ બંને મળ્યાં. ત્યારબાદ દેશમાં પાછા આવીને ભોપાલ ખાતે પુરાતત્વ ખાતામાં અધિકારીની પદવીએ જોડાયા ત્યારે રામસિંહે સાંચીના મ્યૂઝિયમમાં નોકરી લઈ લીધી હતી.
થોડા સમય પછી કશ્યપજીને જાણ થઈ કે, અકસ્માતમાં રામસિંહે એક પગ અને એક આંખ ગુમાવી છે.
*******
ભોપાલથી સાંચી પહોંચતા સુધીમાં કશ્યપજીના મનમાં ભૂતકાળ સજીવ થઈ ગયો. એમને રામસિંહ પ્રત્યે પૂરેપૂરી સહાનુભૂતિ હતી, પણ એક અધિકારી તરીકે જે કાનૂની પગલાં લેવા પડે એમાં કોઈ બાંધછોડ એ કરી શકે એમ નહોતા.
“રામસિંહ, તમે જાણો છો કે પુરાતત્વીય જણસો સાથે ચેડાં કરવા એ ગુનો છે છતાં આવું કરવા પાછળનું કારણ?”
“સાહેબ, મને આવું કરવા માટે આ પ્રતિમાઓએ કહ્યું હતું.” કાખઘોડીની ટેકે ઊભેલા રામસિંહના અવાજમાં ડર નહીં સ્વસ્થતા હતી.
ત્યારબાદ રામસિંહે જે વાત કરી એ કલ્પનાતીત હતી.
રામસિંહના કહેવા મુજબ સરકારી શાળામાં મેટ્રિક સુધી અભ્યાસ કરીને અહીં નોકરી લીધી ત્યારથી એ અહીં જ રહે છે. ક્યારેક રાતની ડ્યૂટી પર હોય ત્યારે એમણે પત્થરોને એકમેક સાથે વાત કરતા હોય એવું એમણે સાંભળ્યું છે.
પ્રતિમાઓની વાતોમાં કેટલી ઉદાસી હતી, કેટલી પીડા હતી એ સમજવા દિલ જોઈએ. કેટલીક પ્રતિમાઓને હાથ નહોતા. કેટલીકને પગ, કેટલીકને આંખ, કોઈ પ્રતિમાને કાન તો કોઈને નાક નહોતા. વળી કોઈ પ્રતિમાને માત્ર ધડ જ હતું. આ બધી ખંડિત પ્રતિમાઓને અખંડ સ્વરૂપ જોઈતું હતું.
એક મા પાસે ચૂલો હતો પણ બાળક માટે રાંધવા આખું વાસણ નહોતું. કોઈ બાળક પાસે રમવા માટે સરખું રમકડું નહોતું. ખેડૂતનું હળ તૂટી ગયેલું હતું. રાજાનો રાજદંડ તો સૈનિકના શસ્ત્રો. એક નર્તકીની પ્રતિમાને પગ નહોતો. તો વળી કલાકાર પાસે પડેલું વાદ્ય તૂટેલું હતું.
રામસિંહે એમને અખંડ રૂપ આપવાનું નક્કી કર્યું. એના માટે તક પણ મળી ગઈ. એક દિવસ જ્યારે સીસીટીવી કેમેરા બગડી ગયો એ રાત્રે એક પછી એક પ્રતિમાના ઘા પર જાણે મલમ લગાડવાનું શરૂ કર્યું. બાળક્ પાસે નવું રમકડું મૂકી દીધું. તૂટેલી હાંડીની જગ્યાએ નવું વાસણ મૂક્યું. રાજાને રાજદંડ, સૈનિકોને શસ્ત્રો, ખેડૂતને હળ આપ્યું. સ્ટોન સીલર અને પ્લાસ્ટર ઓફ પેરિસથી આંખ, કાન, નાકથી માંડીને ધડ પર માથું સુદ્ધાં મૂકી દીધું.
રામસિંહની વાત સાંભળીને કશ્યપજીનું દિમાગ ચક્કર ખાઈ ગયું.
“તમે જાણો છો, રોજે આ પ્રતિમાઓની સંખ્યા ગણતરી કરવામાં આવે છે એટલું જ નહીં એની તસવીરો પણ લેવામાં આવે છે? પ્રતિમાઓમાં સહેજ પણ તફાવત દેખાય તો એની નોંધ લેવાય છે અને તમે એને નવા ઘાટ આપવા માંડ્યાં?
“કશું ખોટું હોય એ સુધારવું. જેની પાસે જે નથી એ આપવું એને ગુનો કહેવાય? પગ અને આંખ નથી તો એની પીડા શું છે એ હું જાણું છું, સાહેબ.” રામસિંહે ધીમા અવાજે જવાબ આપ્યો..
“અહીં તો ખંડિત જ પ્રતિમાઓની કિંમત છે. આ તૂટેલા હાથ-પગ, ફૂટેલી આંખની કિંમત છે.” કશ્યપજીના દિમાગનો પારો ઊંચો ચઢવા માંડ્યો.
“મારે પણ એક પગ અને એક આંખ નથી, તો મારીયે કોઈ કિંમત હોવી જોઈએ ને? પણ, જાણું છું નથી સાહેબ. મારી કો..ઈ કિંમત નથી.”
કશ્યપજી ઘા ખાઈ ગયા.
“તમે પ્રતિમા છો?”
“ના, સાહેબ, પણ હવે ખબર પડી કે જીવતા માણસ કરતાં ખંડિત પ્રતિમાઓ વધુ કિંમતી છે. અમારે રહેવા ઘર નથી અને આ પ્રતિમાઓ માટે મોટા, એરકંડિશન ઓરડાઓ….” એમનો અવાજ ભરાઈ આવ્યો.
*******
કશ્યપજીને આજે સમજાતું હતું કે, જીવનભર પત્થરોની પ્રતિમા પર સંશોધન કરીને એ ખુદ પત્થરની જેમ સંવેદનશૂન્ય બની ગયા હતા. સંશોધન કર્યું, પણ સંવેદના પારખવામાં ઊણા ઉતર્યા જ્યારે રામસિંહે સાચા અર્થમાં પત્થરોની પ્રતિમાની જાળવણી કરી હતી.
કેવી છે આ નિષ્ઠુર દુનિયા જ્યાં પત્થરોની પ્રતિમાને લઈને આટલો હોબાળો મચ્યો અને ગરીબ માનવીની હત્યાનો ઉલ્લેખ માંડ થાય છે. ખંડિત પત્થરની પ્રતિમાને સરકાર સાચવવા અઢળક નાણાં ખર્ચે છે, પણ ગરીબ માણસના ક્ષતવિક્ષિત દેહની નોંધ સુદ્ધાં નથી લેવાતી.
કશ્યપજી વગદાર અધિકારી હતા. એમના હોદ્દાનો ઉપયોગ કરીને રામસિંહને મોટી સજામાંથી બચાવી લીધા. નિવૃત્તિના બે મહિના પહેલાં જ રામસિંહને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા.
નિર્ણય લેવાયા બાદ કશ્યપજી ઑફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે રામસિંહ સામે ઊભા હતા. ખીસ્સામાંથી બે મહિનાના પગાર જેટલા રૂપિયા કાઢીને કશ્યપજીએ રામસિંહને આપ્યા.
“તમારા માટે હોટલમાં ચોકીદારની નોકરીનું કહી દીધું છે. કાલથી કામે ચઢી જજો.” કહીને કશ્યપજી રામસિંહને ભેટી પડ્યા એ ક્ષણે એમને લાગ્યું કે, આજે એમણે એક જીવંત ખંડિત પ્રતિમાના ઘા પર મલમ લગાડીને એને શાતા આપી છે.
ગરિમા સંજય દુબે લિખિત વાર્તા
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
અભિશાપ
વસુધા ઈનામદાર
આજે પ્રિયા પાછી અમેરિકા જઈ રહી હતી. પ્રિયાની અનિચ્છા છતાં પરમ એને મૂકવા એરપોર્ટ પર આવ્યો હતો. કેટલાય સમય સુધી બંને ચૂપચાપ બેસી રહ્યાં હતાં. પરમને પ્રિયા રહસ્યમય લાગી રહી હતી, પ્રિયાને પરમની દયા આવતી હતી.લાંબા સમયના મૌન બાદ પરમ અચાનક બોલી ઊઠ્યો, “એવું તે શું થઈ ગયું પ્રિયા કે તું આમ…?”
પ્રિયાએ કહ્યું “ પરમ,એના કારણમાં ના પડીશ. કદાચ કારણ હોય તો તે હું જ છું, હું સ્ત્રી છું… માત્ર સ્ત્રી!”
“પણ પ્રિયા…” પરમે પ્રિયા તરફ હાથ લંબાવ્યો.
“પ્લીઝ, ડોન્ટ ટચ મી!”
એકાદી ઊંડી ખીણમાંથી આવતા અવાજ જેવું પ્રિયા બોલી .એ બંનેની વચ્ચે આક્રોશ અને અવિશ્વાસની હવા ફેલાઈ. પ્રિયા તરફ લંબાવેલો પોતાનો હાથ પરમે પાછો ખેંચી લીધો.
“પ્રિયા, પ્લીઝ ટેલ મી, વ્હોટ હેપન્ડ?”
“પરમ , તું કે હું કોઈ નહીં સમજી શકીએ વ્હોટ હેપન્ડ ?વ્હાય ઇટ હેપન્ડ ?”પ્રિયાની આંખે આંસુનું તોરણ બંધાયું!
“તો તું અમેરિકાથી આપણાં લગ્નની ના પાડવા આવી?”
“હા, પરમ… !”
“પ્રિયા, અમેરિકા જઈને તું આવી બદલાઈ જઈશ એવું નહોતું ધાર્યું! પ્રિયા, તેં તારા તન મન ફરતે એક કવચ વીટાળ્યું છે, ને કદાચ તેથી જ તને તારો પ્રેમ પણ સ્પર્શી નથી શકતો!”
“એવું નથી પરમ! હું તો સાવ કવચ વગરની થઈ ગઈ છું. હા, પણ બદલાઈ ગઈ છું જરૂર!”
“પ્રિયા, સમજી શકાય એવું બોલીશ?”
પ્રિયા, અનિમેષ નેત્રે પરમને જોઈ રહી. પરમ બોલ્યે જતો હતો.
“પ્રિયા, તેં એકવાર કહ્યું હતું, મારો પ્રેમ જમીન અને આસમાન વચ્ચેના આકાશ જેવો છે. ત્યાં આપણે પ્રેમનું અનોખું બ્રહ્માંડ રચીશું. જ્યાં આપણો પ્રેમ ઓમકારમય બનીને ગુંજતો રહેશે. આમ પ્રેમના હીંચકે હીંચનારી તું, આપણાં ભાવિ જીવનનાં સપનાને કંડારનારી તું… તારો જ પ્રેમ પરથી વિશ્વાસ ઊઠી ગયો?” પરમે પૂછ્યું.
“પરમ , પ્રેમ શું છે એ તું મને સમજાવીશ? પ્રેમ વર્ષાની ફોરાની જેમ નથી વરસી શકતો, એ તો ઝાકળબિંદુની જેમ સહજ સરી પડે છે. ઝાકળની મહેંક વર્ષાના બિંદુમાં પણ નથી .ઝાકળ બનવા તપવું પડે છે, પરમ!”
“પ્રિયા, આપણે ઓછાં તપ્યાં છીએ? “
“એનો અહેસાસ મને છે એટલે જ સ્તો હું…”
પ્રિયા વાક્ય પૂરું કરે તે પહેલાં જ પરમ બોલ્યો, “અમેરિકાથી લગ્નની ના પાડવા આવી છે, ખરું ને પ્રિયા?”
“પરમ, સાંભળ પ્રેમ ,શ્રદ્ધા, સમર્પણ, ત્યાગ, પવિત્રતા ને ખાસ કરી ને ચારિત્ર વગર માનવ જીવનનું કશું મૂલ્ય નથી ,પણ ક્યારેક એ બધું જ આભાસી લાગે છે. આ બધા શબ્દોને ઘસી ઘસીને ઊજળા કર્યા છે એટલું જ!”
પરમ ચૂપ થઈ ગયો. પ્રિયાની નિકટ સરીને તે બોલ્યો,
“પ્રિયા, તને કોઈ અન્ય સાથે?”
પ્રિયા મ્લાન હસી, “નહીં… પરમ…”
“પ્રિયા, તું લગ્નની ના પાડે છે, પણ તારા હાથની આંગળીમાં આપણાં સગાઈની વીંટી કેમ છે? અને આમ જ કરવું હતું તો આપણી સગાઈ શું એક રમત હતી? “પરમે પૂછ્યું.
“પરમ…” પ્રિયા ચીસ પાડી ઊઠી. એનું સમગ્ર અસ્તિત્વ કંપી ઊઠ્યું. થોડીક ક્ષણો પછી તે સ્વસ્થ થતાં બોલી.
“પરમ, સગાઈ જો તને રમત લાગતી હોય તો લગ્ન મને નાટક જેવું લાગશે. અને એટલે જ…”
“તું અહીં આવીને અમારાં સહુના દિલ તોડી શકે છે!”
“પરમ, તારા આક્ષેપોનો મારી પાસે જવાબ નથી .”
“આ આક્ષેપ નથી ,હકીકત છે!” પરમે કહ્યું.
“તને જે લાગે તે, હું તારી સાથે લગ્ન નહીં કરી શકું, પરમ !”
“આ વાત તો તું આવી છે ત્યારથી કહી રહી છે, પ્રિયા!”
પ્રિયા , ચૂપ હતી. પરમ પ્રિયાના પ્લેનના ઊડવાના સમય સુધી પૂછતો રહ્યો, ક્યારેક પ્રિયા ડગમગી જતી. સમગ્ર તનમનની વ્યથા પરમ આગળ ઠાલવી દેવાની ઇચ્છા એને થઈ જતી, પણ તે પ્રયત્ન પૂર્વક મૌન રહી.
“પ્રિયા, તું મને કેમ ના પાડે છે, તે જાણવાનો મને અધિકાર નથી ? ”
પ્રિયા બોલી, “અધિકાર છે, પણ સાંભળી શકીશ? સાંભળીને સમજી શકીશ? સમજીને મને…”
પ્રિયા , પોતાના અધૂરા વાક્ય સાથે ઊભી થઈ. સૂટકેસ અને પર્સ લઈને ચાલવા લાગી. થોડેક દૂર જઈને, પાછાં વળીને એણે પરમ સામે જોઈને આવજે કર્યું
“પ્રિયા, ઇમેલ કરતી રહેજે.” પરમે ઊંચા સાદે કહ્યું
આસપાસનાં લોકોએ પહેલાં પરમ અને પછી પ્રિયા સામે જોયું. પ્રિયાએ એ સહુ પર ન ઉકેલી શકાય એવો દ્રષ્ટિપાત કર્યો.
પ્રિયા કશું બોલી નહી ,પરમ પ્રિયાની પાછળ ચાલતા ટોળાંને ભેદીને દોડ્યો. સિક્યોરિટીવાળાએ પરમને રોક્યો. પ્રિયાએ ક્ષણેક થોભીને પરમની સામે જોયું. એ જ ચહેરો કઠોર અને મૃદુ!
પ્રિયાને યાદ આવ્યું ,એકવાર વાતચીતમાં પરમે કહ્યું હતું, “પ્રિયા , કોમળ અને કઠોર એકી સાથે બનવાનું, પહેલાં કોમળ અને પછી કઠોર એમ નહીં. એના ચહેરા પર થોડુંક સ્મિત આવ્યું ને આંસુ સરી પડ્યાં. પ્રિયા વિચારવા લાગી હસવું અને રડવું જ્યારે એકમેકમાં ભળી જાય ત્યારે કેવું બધું ધૂંધળું ભાસે છે, પણ કઠોર અને કોમળના મિશ્રણથી ઉદાત્ત માનવી બની શકાય. કદાચ પરમ જેવા. એણે ફરી પાછાં વળીને જોયું. પરમની પોતા પ્રત્યેની પ્રેમથી છલ્લોછલ દૃષ્ટિ… એમાં ડોકાતો એક પ્રશ્ન, “કેમ… પ્રિયા શા માટે?”
પ્રિયા મક્કમ પગલે પાછી ફરી, પરમે દોડતાં આવીને પ્રિયાને અંકમાં લીધી. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
“પરમ, વહાલા પરમ” સત્યની ઊંડી ગુફામાંથી એક વ્યાકુળ અવાજ આવ્યો જે પરમના હૃદય પર પડઘાતો રહ્યો.
“પરમ, મારી ચેતનાને, મારાં શ્વસતાં કુવારાં નારીત્વને કોઈ અનાવૃત્ત કરી ગયું!”
પરમના શરીરમાંથી એક વીજળી પસાર થઈ, એના પ્રેમ ઝરણાંને જાણે સૂકવતી ગઈ. આગની જ્વાળાની જેમ તે સમસમી ગયો.
“ પ્રિયાડડ” પરમની ચીસ એના પોતાના જ ગળામાં ઘૂંટાતી ગઈ. પોતે બેભાન થઈ એરપોર્ટ પર પછડાઈ જશે એવા ભયથી તે પથ્થરની જેમ ઊભેલી પ્રિયાને વળગી પડ્યો. પ્રિયા નિશ્ચલ ઊભી રહી, સાવ ચેતન વિહોણી!”
થોડીક ક્ષણોમાં બંને સ્વસ્થ થયા. પરમે પ્રિયાનો હાથ પકડી લીધો. તે બોલ્યો, “ચાલ, પ્રિયા ચાલ, મારી સાથે ચાલ!” એરપોર્ટથી તે પરમના ઘર સુધીનો રસ્તો બંનેના શ્વાસોની આવનજાવનથી ટૂંકાતો ગયો. પરમના ઘરમાં પ્રવેશતાં જ પ્રિયા બોલી, “પરમ, તને ના પાડવાનું આજ કારણ છે. મારા હૃદયનો પ્રેમ મારી દેહની મર્યાદાથી ગૂંગળાઈ ગયો છે. હું તારી રહીનેય તારી નથી થઈ શકતી.”
પરમની નજીક આવી એનો હાથ પકડી તે બોલી, “આ બનાવ બન્યો ત્યારે હું ઇચ્છતી હતી કે કોઈ જટાયુ બનીને આવે, કોઈ રામ બનીને આવે, કોઈ કૃષ્ણ બનીને આવે! કોઈ ન આવ્યું પરમ! તું પણ ના આવ્યો! હવે જ્યારે હું પાપ અને પુણ્યતા અક્ષાંસ-રેખાંશ પર અટવાઈ રહી છું, ત્યારે હું મારી જાતને પૂછું છું. મારું સ્થાન ક્યાં?”
પરમે પ્રિયાનો હાથ પોતાના હૃદય પર મૂક્યો… “તારું સ્થાન અહીં છે, પ્રિયા! પ્રિયા મને માત્ર પડછાયાની જેમ જ નહીં પણ તારા શ્વાસની જેમ નિકટ આવવા દે! તારી નજીક રહીને તારી પીડાને હું ધીરે ધીરે પી જઈશ!”
“હા, નીલકંઠે વિષ પીધું ને તું મારી પીડા! પરમ તને તો માત્ર પ્રેમ જ અપાય. આ પીડા હું પોતે પીતી રહીશ.”
“પરમ, ક્યારેક આપણે એકલાં કે એકલાં અધૂરાં રહીને જીવવું પડે છે. આપણી પાસે ન જીવવાની સ્વતંત્રતા નથી ! પ્રિયાના દરેક શબ્દમાંથી વેદના ટપકતી હતી.
“પ્રિયા, બીજું બધું હોય કે ન હોય, આપણી પાસે પ્રેમ કરવાની સ્વતંત્રતા છે.” પરમે પ્રિયાની નિકટ આવીને કહ્યું. ચહેરા પરના વિષાદના ભાવ સાથે પ્રિયા બોલી, “મારા એકાંતની મંજૂષા લૂંટાઈ ગઈ છે. એમાં સજાવીને મૂકેલા મેઘધનુષના રંગ વિખેરાઈ ગયા છે. પરમ, મારા એકાંતમાં નર્યો ઘોંઘાટ છે, મારું પોતાનું કહી શકાય એવું એકાંત પણ મારી પાસે નથી “
પરમે કહ્યું, “પ્રિયા આપણાં તનમનનાં એકત્વથી હું તારી લૂંટાઈ ગયેલી મંજૂષા છલકાવી દઈશ. આપણે બંને સાથે મળીને વિશ્વાસ અને શ્રદ્ધાના રંગે તેને શણગારીશું.”
“ના પરમ , એ શક્ય જ નથી. મારા ખંડિત ભિક્ષાપાત્રમાં તારું સ્નેહ ઝાકળ નિર્માલ્યની જેમ વ્યર્થ જશે. તું મારા પરમ સમીપે અને તને જ……! “પ્રિયાની આંખો ભરાઈ આવી.
“પ્રિયા, તારી આ સદીઓ પુરાણી માન્યતાઓનું મારે મન કોઈ મહત્વ નથી .કોઈ અબુધ પુરુષે તને ઘાયલ કરી છે. એ મનોવિકૃત કે મનોરોગી હશે. તારી બદનસીબીની એ ક્ષણો હશે. પ્રિયા, તારે તારું મનોયુદ્ધ એકલાં એકલાં જ લડવું છે. તારા મનોસંગ્રામનો મને સારથી નહીં બનાવે?”
“મનોસંગ્રામ? તું સાચું જ કહે છે પરમ! હું મારાં મનોયુદ્ધમાં અટવાઈ ગઈ છું. મનની સાથે એક અણગમતો નવો સંબંધ બંધાયો છે. એ મુક્ત છે હું માત્ર બંદિશ્ત!!”
“મારા મનની કોર્ટમાં હું ન્યાયાધીશ બનું છું. મારી જાતને દેહદંડની સજાથી માંડીને દરેક હળવી મોટી સજાઓ ફટકારું છું. એ બધી સજાઓ મારા માટે સહ્ય છે, પણ મનને સતત ડ્રીલની જેમ કોતરતી સ્થિતિ અસહ્ય છે. મને લાગે છે કે મરતી વખતે પણ આવી રીતે જીવવા જેટલી પીડા વેઠવી નહીં પડતી હોય! હું વેદનાના હીંચકે બેસીને ક્રોધને હીંચકાવું છું ને ક્યારેક પીછેહઠ કરીને વિચારું છું કે હું વેરની આગ વરસાવું તો કોના પર? પરમ, જવાબ વિનાના સવાલોનું અતુલ યુદ્ધ હું લડી રહી છું. મારી જિંદગી જાણે અનેક પ્રશ્નોનું જંગલ!! એક પછી એક ઊગતા પ્રશ્નથી હું છેદાઈ રહી છું. આ સમયે તું પણ મારી મમ્મીની જેમ લગ્નની વાત કરે છે?” પ્રિયા બોલતાં બોલતાં જાણે હાંફી ગઈ.
પરમે પૂછ્યું, “તેં તારી મમ્મીને વાત કરી? એમણે શું કહ્યું ?”
પ્રિયા બોલી, “ મારી મા, મારા દુઃખને સમજે છે. મારા આશ્ચર્ય વચ્ચે એ આવા દુઃખને સહી શકે છે! તે સ્ત્રીના નાતે બધું સમજે છે, પણ એની સમજણ સહારો બનીતે છવાઈ નથી જતી. તે મૂંગી મૂંગી બરડા પર હાથ ફેરવશે. એનો સ્પર્શ ઘણું બધું કહેવા મથે છે, પણ હું જ જાણે ચેતન વિહોણી બની જાઉં છું ! અત્યાચાર તો સ્ત્રીઓ પર જ થાય એવી માન્યતા સાથે તે મોટી થઈ છે. એ કહેતી હતી, “હું કાંઈ દુનિયાની પહેલી સ્ત્રી નથી જેના પર આવો અત્યાચાર થયો છે. તે કહે છે લગ્ન કરી લે બધું ઠીક થઈ જશે.”
“લગ્ન પહેલાં અને લગ્ન પછી આવી વાતો કોઈનેય કહેવાય નહીં. એવા બીકણ ખ્યાલોથી મા ઘડાઈ છે, પણ પરમ પોતાના મન આગળ ડોઈ ઢાંકપીછેડો થઈ શકતો નથી. તારી સાથે લગ્ન કરીશ તો હું એકલી નહીં હોવું, અનેક અણગમતી સ્મૃતિઓ દહેજમાં લાવીશ!! તેનું શું કરીશું? આ જખમની યાદો વર્તમાનની ક્ષણોમાં ઓગાળવી મારાથી શક્ય બનશે ? ”
“પ્રિયા સમયના ટનલમાં ફોરવર્ડ હોય છે. તું રિવર્સ જવાતું બંધ કરીશ ? જીવન સતત આગે બઢોને લલકારે છે.” પરમે કહ્યું.
“પરમ , હું બધું જ સમજુ છું. તું મારા મનને એ અત્યાચારી ક્ષણોમાંથી મુક્ત કરી શકીશ? એ સમગ્ર ઘટનાએ મારા નારીત્વને છીનવી લઈને મને અપમાનિત કરી છે. આજ સુધીના ઇતિહાસમાં કઈ સ્ત્રીને પોતાની આ પ્રકારની વ્યથાને વ્યક્ત કરવાની છૂટ મળી છે? પરમ, તારી આગળ આજે તારી પ્રિયાનું મન અત્યંત વિશ્વાસપૂર્વક અનાવૃત્ત થયું છે.”
“પ્રિયા,”
પરમ અત્યંત સ્નેહથી બોલ્યો, “તું તારા મનને મોકળું કરીતે ધોધમાર રડી લે. આંસુનું મહાપૂર આવવા દે. એમાંથી તરીને બહાર નીકળ. એ પળનું સ્મરણ પણ એ પ્રવાહમાં જવા દે… એ ક્ષણો અને વેદનામાંથી મુક્ત થવાનો મરણિયો પ્રયાસ એ જ તારો સંકલ્પ!”
“પરમ, તું કોઈ માનસશાસ્ત્રી જેવું બોલે છે!”
“ના ,પ્રિયા, હું એક સહૃદયી પ્રેમી જેવું બોલું છું. આપણી સંસ્કૃતિ મનની ભાવનાઓથી ભરેલી છે. એ આંતરનાદના તારા તાર તૂટી ગયા છે. આમ હારીને બેસીશ તો સ્વસ્થતા ખોઈ બેસીશ. મન અને મક્કમતા વચ્ચે એકત્વ સંધાય ત્યારે જ જીવન સહજતાના માર્ગે આગળ વધે છે. આ પળથી માત્ર મારી થઈને રહે. તારા વર્તમાનની ક્ષણો સુવર્ણ રજથી ભરવા હું પ્રયત્ન કરીશ!”
“ખરેખર પરમ! તો તું એક કામ તારી પ્રિયા માટે કરીશ?”
“પ્રિયા, તારે પૂછવાનું ના હોય! બોલ, પ્રિયા, હું તારા માટે શું કરું?”
પ્રિયાનો કંઠ રૂંધાયો, પણ શબ્દો ભારપૂર્વક ધસી આવ્યા, “
“પરમ, મને શાપ આપ… હા પરમ, તું મને શાપ આપીશ?”
“મારે ,અહલ્યા થવું છે… હા… હા… મારે અહલ્યા થવું છે !!”
વસુધા ઈનામદાર | બોસ્ટન ,અમેરિકા
-
મહેન્દ્ર શાહનાં માર્ચ ૨૦૨૬ નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s art creations for March 2026
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
સદાબહાર સૂર- શ્રી અવિનાશ વ્યાસ – પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
આલેખનઃ રાજુલ કૌશિક
સમય હશે ૨૦૧૩નો…ત્યારે અખબારમાં એક સમાચાર હતા.
જાણીતા ગીતકાર સંગીતકાર અવિનાશ વ્યાસની ૧૦૧મી જન્મજયંતી અને ૨૯મી પુણ્યતિથી નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટક અકાદમી અને શહેરની સંસ્થા ગાથા દ્વારા સી.સી. મહેતા ઓડિટોરિયમ ખાતે અવિનાશી અવિનાશ કાર્યક્રમ યોજાયો હતો. રવિવારે રાત્રે યોજાયેલા આ કાર્યક્રમમાં અવિનાશ વ્યાસના ગીતોની રજૂઆત દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે પુરૂષોત્તમ ઉપાધ્યાયે કહ્યું હતું કે, “અવિનાશ વ્યાસે લખેલા ગીતો ફકત ગીતો જ નહીં, પરંતુ તેમના જીવનની કહાની બયાઁ કરે છે જેમાં તેમની અનેક રાતોના ઉજાગરા અને વર્ષોની મહેનત હતી. એમના શબ્દોના પ્રાસ અને લેખિની એટલી મજબૂત કે જે વિષય પરનું ગીત હોય તેનો અનુભવ કરાવે જ !”
આજે આ વાત યાદ આવવાનું કારણ ૨૦ ઑગસ્ટ.
૨૦ ઑગસ્ટ ૧૯૮૪ નો એ દિવસ અવિનાશ વ્યાસની વિદાયને લઈને સુગમ સંગીત માટે, સુગમ સંગીતના ચાહકો માટે હંમેશ માટે ખાલીપો સર્જતો ગયો.
અવિનાશ વ્યાસ એક એવા ગીતકાર હતા જે હૃદયની લાગણીઓને સહજતાથી શબ્દદેહ આપી શકતા. મા અંબાજીની પરમકૃપા એમની પર હતી. આ પરમકૃપાનો સાક્ષાત્કાર આપણે એમની રચનાઓમાં અનુભવ્યો છે. એક વાત તો સૌએ સ્વીકારવી રહી કે ગીત-સંગીત કે કવિતાના કોઈ ક્લાસ કે ટ્યુશન નથી હોતા એ તો ઉપરવાળાની કૃપાથી ઉતરી આવે અને એ કૃપાથી અવિનાશ વ્યાસ સમૃદ્ધ હતા.
ક્યારેક વિચાર આવે કે કોઈ પણ જીવ જે ક્ષણે જન્મ લે છે ત્યારથી જ એની અંત તરફની યાત્રા પણ શરૂ થઈ જ જતી હોય છે ફક્ત એનો વિચાર ભાગ્યેજ કોઈ કરે પરંતુ કદાચ કોઈને આવનારા મૃત્યુનો અણસાર આવી જાય તો એ શું વિચારે?
કવિઓ, લેખકો, ગીતકારો જીવન વિશે તો લખે સાથે મૃત્યુ વિશે પણ ઘણું લખે છે.
કહે છે કે મૃત્યુ જેની સમજમાં આવી જાય એના માટે જીવન મહોત્સવ બની જાય. જેનામાં નખશિખ માનવતા ભરી હોય એ મૃત્યુને મહોત્સવ બનાવી શકે. અવિનાશ વ્યાસની માનવતા વિશે અનેક વાતો છે જેની વાત ક્યારેક ભવિષ્યમાં કરીશું પણ આજે એ માનવતાની મૂર્તિ સમા ગીતકારે જીવનને કેવા તટસ્થભાવે જોયું અને મૃત્યુ વિશે શું વિચાર્યું એ જાણવાની જીજ્ઞાસા થઈ તો એના જવાબમાં આ ગીત યાદ આવ્યું.
“હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ના જાણું
ધરમ કરમના જોડ્યા બળદિયા ધીરજની લગામ તાણું.”એક ધર્મ અને બીજું કર્મ એવા બે બળદને સહારે ચાલતું આ જીવનનું ગાડું ધીરજની લગામ થકી સુપેરે હાંકવા મથીએ, પણ અંતે તો હરિ જે કરે એ જ સાચું એવી અપાર શ્રદ્ધા જેનામાં હોય એ સમજે છે કે આ જીવનમાં સુખ-દુઃખ તો દિવસ અને રાતની જેમ આવ્યા જ કરવાના પણ હરિ જેમ કહે એમ કરવું બાકીનું પરહરવું. શબ્દો થોડા જુદા પણ નરસિંહ મહેતા પણ એ જ કહી ગયા છે ને કે, “સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં.”
અવિનાશ વ્યાસની વાતમાં કેટલી સાદગી છે ! એ જીવનરથ નથી કહેતાં એ જીવનને ગાડું કહે છે. ન કોઈ ઠાઠમાઠ કે ઠઠેરો બસ સરળતાથી ચાલ્યા કરતું જીવન જે હરિને મંજૂર હોય એમ જીવવાનું.
“સુખ ને દુઃખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય,
કદી ઉગે આશાનો સૂરજ કદી અંધારુ થાય,
મારી મુજને ખબર નથી કઈ, ક્યાં મારું ઠેકાણું, કાંઈ ના જાણું.”એથી આગળ અવિનાશ વ્યાસ જે વાત કરે છે એમાં જીવનનું ગહન સત્ય સાવ સરળતાથી વ્યક્ત થતું સમજાય છે. સૌ જાણે છે એમ ક્યારે અને ક્યાંથી આવ્યા અને ક્યારે ક્યાં જવાના એની કોઈનેય ક્યાં ખબર છે? આ શરીર આપણા આત્માને ધરી રાખતું, સાચવતું એક પીંજર છે એ ક્યારે ઘસાતું જશે કે જૂનું થશે એની આપણને જાણ નથી ત્યારે હરિ જ્યાં જેમ દોરે એમ દોરાવું
“ક્યાંથી આવું ક્યા જવાનું ક્યાં મારે રહેવાનું,
અગમ-નિગમનો ખેલ અગોચર, મનમાં મુંઝાવાનું,
હરતું ફરતું શરીર તો છે પિંજર એક પુરાણું, કાંઈ ના જાણું.”શરીરને પીંજરું કહેતા અવિનાશ વ્યાસની એક આ રચના મને સૌથી વધુ સ્પર્શી છે. હૃદયને અડીને આજ સુધી રહી છે અને હંમેશા રહેશે.
“પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે
ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠે દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે…”કેમ લખ્યું હશે આ ગીત?
બહુ બધી વાર વિચાર આવતો કે, એવું તો એમણે શું જોયું હશે, અનુભવ્યું હશે કે અંદરથી આવો અજંપો ઉમટ્યો હશે? મનમાં કેવા ભાવ ઉમટ્યા હશે ત્યારે આ રચના કરી હશે? એ કોઈને સમજાવવા મથતા હશે કે પછી પોતાની જાત સાથેની વાત હશે?
હા, જો ઢળતી ઉંમર હોય, તન થાક્યું હોય, મનમાં જીવવાની જિજીવિષા ન રહી હોય ત્યારે માણસને પોતાનો દેહ જર્જરિત પીંજરા જેવો લાગવા માંડે ત્યારે એને નવા ક્લેવર ધારણ કરવાના, નવા પીંજરામાં પૂરાવાના કોડ જાગતા હોય એ સમજી શકાય છે પણ ચારેકોર સુખની શૈયા હોય, સુંવાળું જીવન હોય એને ત્યજીને કોને આ અજાણી ભોમકાની વાટે જવાનું મન થતું હશે?
“સોને મઢેલ બાજઠિયો ને રૂપે મઢેલ ઝૂલો
હીરે મઢેલ વીંઝણો મોતીનો મોઘો અણમોલો
પાગલ ન બનીએ ભેરુ કોઈના રંગ રાગે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે.”કશું ન હોવાની વ્યથા હોય તો સમજાય પણ બધુ અભરેભર્યું હોય તેમ છતાં જીવન પરથી મન ઊઠી જાય ત્યારે કેવો અજંપો મનને સતાવતો હશે ?
અન્યની તો ખબર નથી, પણ આજે થોડી હું અંગત થઈ રહી છું. સંથારો શબ્દ છે જેમાં વ્યક્તિ પોતાની આસપાસથી, આપ્તજનોથી માયા સંકેલવા માંડે ત્યારે એની જોડે રહેનારને આ પ્રશ્ન જરૂર થાય કે આટ-આટલી સુખ સાહ્યબી હોવા છતાં આ ઘર છોડીને અણદીઠે દેશ જાવાની તત્પરતા એનામાં કેમ આવી હશે?
આ રચના સાંભળું ત્યારે હંમેશા યાદ આવે છે મહાપ્રયાણની તૈયારી કરતી મારી મા…એને જોઈ છે. ત્યારે થતું કે આમ ભરપૂર જીવન જીવતી વ્યક્તિને અચાનક બધું છોડવા વિચાર કેમ આવતો હશે?
અથવા જેણે ભરપૂર જીવન જીવી લીધું છે એના મનમાં કોઈ ઈચ્છાઓ બાકી નહી રહેતી હોય એટલે આવી સાહજિકતાથી માયા સમેટી શકતી હશે?
મારી મા અને એની અલિપ્તતાને જોતી ત્યારે અવિનાશ વ્યાસની આ રચના યાદ તીવ્રતાથી યાદ આવતી અને આજે આ રચના સાંભળું છું ત્યારે એના શબ્દોમાં મને એમાં મારી મા અનુભવાય છે.
મહાપ્રયાણ કરવાની તૈયારી સાથે સમય પસાર કરતી વ્યક્તિની મનોવસ્થા જ્યારે આ રચનાના અંતિમ ચરણને સમજીએ ત્યારે સમજાય છે.
“જન્મ ધરીને પીંજરે જીવ્યા હારોહાર
પણ જ્યાં સૂરજ માંડ્યો ડૂબવા ત્યાં તૂટ્યો તંબૂરાનો તાર
અધૂરું ભજન સંગાથી ઉમળકો ભાગે
પંખી વાણી ઓચરે આખર જવું એક દાહડે
આ નથી નિજનું ખોળીયું આ તો મકાન રાખ્યું ભાડે
પોઢવાને કાજે પાગલ સારી રાત જાગે
બહુએ સમજાયું તોયે પંખી નવુ પીંજરું માંગે.”જેની હારોહાર જીવ્યા હોય એવી વ્યક્તિ વગર ભરી ભરી આ દુનિયામાં ખાલીપો સર્જાય, સઘળું વ્યર્થ થઈ જાય ને ત્યારે ભલેને પીંજરું સોનાનું હોય પણ એના પરથી મોહ છૂટી જાય.
આ લખી રહી છું ત્યારે ફરી શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે કહેલા આ શબ્દો આજે યાદ આવે છે અને એનું સત્ય સમજાય છે કે અવિનાશ વ્યાસની રચનાઓ જે વિષયને અનુલક્ષીને લખાઈ હોય એનો સીધો જ અનુભવ આપણને પણ થાય છે.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
