વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • હેપી બર્થ ડે..

    જીવનની ખાટી મીઠી

    નીલમ  હરીશ દોશી

    રાતના બાર વાગ્યા હતા. માધવી જાગતી જ સૂતી હતી. આજે આંખોમાં ઉંઘ નહોતી. સાવ બાજુમાં મિહિર ઘસઘસાટ ઉંઘતો હતો. થોડી ક્ષણો સૂતેલા  મિહિર તરફ જોઇ રહી. કદાચ ઉંઘવાનો ડોળ કરતો હશે. હમણાં ઉઠીને પોતાને નજીક ખેંચી.. હેપી બર્થ ડે…વીશ કરી પોતાને વહાલથી  ભીંજાવી દેશે.

    મીઠી કલ્પનામાં થોડીવાર ખોવાયેલી રહી. પણ ઘડિયાળનો કાંટો તો ખસતો ગયો..ખસતો ગયો..મિહિર તો ભરઉંઘમાં…. માધવીની મોટી મોટી આંખો છલકાઇ ઉઠી. પિયરમાં હોય તો બર્થ ડે ને આગલે દિવસે રાતે બરાબર બાર વાગે અને મમ્મી, પપ્પા તેના રૂમમાં આવ્યા જ હોય. વહાલી દીકરીને રાતે જ સૌથી પહેલાં વીશ કરે. ને પછી કેવી ધમાલ..ધમાલ… આજે અહીં સાસરામાં તો આ તેનો પહેલો જન્મદિવસ..અને મિહિરને યાદ પણ નથી ? જોકે ઘરમાં તો એ અને મિહિર બે જ છે. મિહિર આમ પોતાનો જન્મદિવસ ભૂલી જાય એ તેને ગમ્યું નહીં. ખેર ! સવારે વીશ કરે કે રાતે શું ફરક પડે છે ? મન મનાવી તે સૂવાનો પ્રયત્ન કરી રહી. મમ્મીએ  તો કહી દીધું હતું કે હવે સૌથી પહેલાં વીશ કરવાનો અધિકાર મિહિરનો છે.  પોતે હવે રાતે ફોન કરીને  પતિ, પત્નીને ડીસ્ટર્બ નહીં કરે. તેથી હવે કોઇના ફોનની રાહ અત્યારે જોવાની નહોતી.

    માંડ માંડ સવાર પડી. વહેલી ઉઠી નાહીને તે તૈયાર થઇ ગઇ. અને આતુરતાથી મિહિરના  ઉઠવાની  પ્રતીક્ષા કરી રહી. આ મિહિર પણ ખરો છે. આજે પણ ઉઠવાનું નામ નથી લેતો. પત્નીનો  બર્થ ડે ભૂલી ગયો હશે ? હજુ તો લગ્નને એક વરસ જ થયું છે.અને અત્યારથી ભૂલી જવાનું ? વીસ વરસ પછી તો ન જાણે શું યે કરશે ? મનમાં ને મનમાં તેને એવો તો ગુસ્સો આવતો હતો.

    અંતે મિહિર ઉઠ્યો ખરો. તે આશાભરી નજરે તેની સામે જોઇ રહી. પણ..મિહિર તો હમેશની જેમ તેના રુટિન કામોમાં વ્યસ્ત બની ગયો. બસ..એકવાર પત્ની તરફ જરાક  સ્મિત ફરકાવી લીધું. નાસ્તો કરતી વખતે માધવીની ધીરજ ખૂટી ગઇ. મિહિર, આજે કઇ તારીખ છે ?

    દસ જુલાઇ…કેમ તારે વળી તારીખની શી જરૂર પડી ? તારે કયાં નોકરી કરવા જવું છે ? અરે, માધવી, સારું થયું…તેં તારીખ પૂછી..આજે અમારા એમ.ડી.આવવાના છે. અને મારે પ્રેઝ્ન્ટેશન આપવાનું છે..ઓહ માય ગોડ..ચાલ, હું ભાગું જલદી..બાય.. કહેતા ચાનો કપ મૂકી મિહિર ભાગ્યો. માધવીની આંખો હવે તો રીતસર વરસી જ પડી.

    ઓફિસમાં તો આમ પણ મિહિરને કામ સિવાય બીજું કશું સૂઝતું જ નહીં.તેથી હવે કોઇ આશા રાખવી નકામી હતી. આખો દિવસ તે એકલી એકલી ઘરમાં ફરતી રહી. હા, મમ્મીના અને મિત્રોના ફોન આવ્યા કર્યા. બધાએ  આજના પ્રોગ્રામનું પૂછયું. પેલી વૈશાલીએ તો કહે,’ અરે,આજે યે મિહિર ઓફિસે ગયો છે ? મારા બર્થ ડે ને દિવસે અંશુલે તો ઓફિસમાં રજા જ રાખી દીધી હતી. આવું ચલાવી કેમ લે છે ? અત્યારથી આવી આદત પડી જશે તો પછી તો શું કરશે ? અને જાતજાતની સલાહો વૈશાલી આપતી રહી. આમ પણ એ થોડી બટકબોલી તો છે જ. માધવી આખો દિવસ ગુસ્સાથી ઉકળતી રહી. સાંજે મિહિર આવ્યો. રોજ કરતાં થોડો વહેલો આવ્યો. આવતાની સાથે જ.. ’ માધવી, ચાલ જલદી તૈયાર થઇ જા…’ માધવીની આંખમાં આશાનું કિરણ તરી આવ્યું. આખરે મોડું મોડું પણ  યાદ આવ્યું લાગે છે. ત્યાં મિહિર નો અવાજ  આવ્યો.’ મારો મિત્ર અનિકેત બીમાર છે..એને હોસ્પીટલમાં દાખલ કર્યો છે..તેથી આપણે બંને તેને જોવા જવાનું છે. ‘ માધવીનો ચહેરો પડી ગયો. તે તો શું માની બેઠી હતી.. એકાદ  મિનિટ તો થયું પોતે મિહિરને હચમચાવીને પૂછે..યાદ કરાવે..પણ અભિમાન આડે આવ્યું..પોતે યાદ કરાવવું પડે ?

    એક પણ શબ્દ બોલ્યા સિવાય ગુસ્સામાં જ તે તૈયાર થઇ. મિહિરની પાછળ  બાઇક ઉપર બેઠી.

    મિહેરે બાઇક ભગાવી.

    ‘ માધવી, મને ભૂખ લાગી છે. હોસ્પીટલમાં કદાચ થોડું મોડું પણ  થાય…આપણે  પહેલા થોડો નાસ્તો કરતા જઇશું ? ‘ માધવી જવાબ શાની આપે ? મિહિરે પણ જવાબની રાહ જોયા સિવાય બાઇક એક  મોટી રેસ્ટોરંટ પાસે ઉભી રાખી. માધવી કમને ઉતરી. મિહિરે માધવીનો હાથ પકડયો. બંને અંદર દાખલ થયા.ત્યાં જ.. હોટેલનો સ્ટાફ હાથમાં સુંદર બુકે સાથે હેપી બર્થ ડેના ગીત સાથે માધવીને વેલકમ કરી રહ્યો. બેંડના સૂર ગૂંજી ઉઠયા.  મિહિરના મિત્રો કેક સાથે હેપી બર્થ ડે ગાઇ ઉઠયા. તાળીઓના  ગડગડાટમાં માધવીનો ગુસ્સો કયાંય ઓગળી ગયો. તેણે કૃત્રિમ ગુસ્સાથી મિહિર સામે જોયું… મિહિર લુચ્ચું હસી રહ્યો હતો. પછી ધીમેથી કહે,

    ‘ પત્નીનો પહેલો બર્થ ડે ભૂલી જવા જેટલી હિંમત મારામાં હોય ખરી ?’

    માધવી ખડખડાટ હસી પડી.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • સ્મૃતિસંપદા : સહકારની કેડીએ : મનસુખ વાઘેલા [૩]

    આ પહેલાં આપણે શ્રી મનસુખ વાઘેલાની અમેરિકામાં પહેલા દાયકાની સંઘર્ષ યાત્રાની કેડીની સફર કરી
    હવે આગળ…….

    એક્સિડન્ટમાં નાકની સર્જરીઃ

    ૧૯૭૨ના મે મહિનામાં ‘મેમોરિયલ ડે’ ની રજાઓમાં મારી ગાડીમાં હું, મારો રૂમમેટ ચંદુ રાઠોડ, તેમના પત્ની, અને તેમના પુત્ર સાથે બફેલોથી ટોરંટો ગયો. ટોરંટોમાં એક મિત્રને ત્યાં રાત પસાર કરી બીજે દિવસે શનિવારે અમે મોંટ્રીયલ જવા નીકળ્યા. અડધે રસ્તે એક ભયંકર હ્રદયને ધ્રૂજાવી નાંખે તેવો અકસ્માત થયો.

    અમે અડધે રસ્તે ‘થાઊઝંડ આયર્લેંડ’ નામના ગામ પાસે લગભગ આવી ગયાં હતાં. હાઈવે ઉપર ગાડીઓ ખૂબ ઝડપથી જતી હતી. સ્પીડ લિમિટ કલાકના ૭૫ માઈલની હતી. મારી જમણી બાજુ એક મોટી ટ્રક અઢાર પૈડાં વાળી લગભગ ૭૫-૮૦ ની ઝડપે જતી હતી. તેને પસાર કરવા મેં મારી સ્પીડ ૮૫ માઈલની કરી નાખી. અને હું તેને લગભગ પસાર કરી ગયો પણ ત્યાં જ પવનનો મોટો સપાટો આવ્યો. અને મારે હલકી ગાડીને લીધે મને એમ કે ક્યાંક મારી ગાડી ટ્રકની અંદર તો નહીં ચાલી જાયને! એટલે મેં સ્ટિયરિંગ વ્હીલને ઝડપથી મારી ડાબી બાજુએ ફેરવ્યું. ને તુરત જ ગાડી લસરી પડી અને હાઈવે ઉપરથી ઉતરીને નીચાણ વાળા ભાગમાં ૮૫ માઇલની ઝડપે જતી રહી. મેં બ્રેક મારવાની ખૂબ કોશિષ કરી પણ બ્રેક લાગતી નહોતી. અને મારી ગાડી એક મોટા પાઇપ લાઈન સાથે અથડાઈને ઊભી રહી. મારો ચહેરો આગળના કાચ સાથે જોરથી અથડાયો અને કાચમાં તડ પડી ગઈ અને મારા નાક ઉપર પણ ખૂબ ઇજા થઈ. પેલી ટ્રક પણ તરત ઊભી રહી અને બીજા માણસો પણ તરત દોડતા આવ્યા અને મને ગાડીમાંથી બહાર કાઢ્યો અને એક ઝાડ નીચે સુવડાવ્યો. હું તો બેભાન જેવો જ થઇ ગયો હતો. મારા નાકમાંથી લોહી વહેતું હતું. ટ્રક ડ્રાઈવરે વોકિટોકી પર એંબ્યુલન્સ બોલાવી. મને યાદ છે કે સૂર્યનારાયણ દાદા મારા લોહી વહેતા નાક પર સૂર્ય પ્રકાશ પાડતાં મને તકલીફ થતી હતી અને એ ટ્રક ડ્રાઈવરે જોયું એટલે એણે એની પડછંદ કાયા સૂર્ય પ્રકાશ વચ્ચે એવી રીતે ગોઠવી કે મને છાંયડો મળે.

    થોડી વારમાં એંબ્યુલન્સ આવી ગઈ અને મને નજીકની હોસ્પિટલમાં લઈ ગયાં. ત્યાં એક ખ્યાતનામ પ્લાસ્ટિક સર્જને મારુ ઓપરેશન કરી અને મારુ નાક સીવી દીધું. મારે ૩૨ ટાંકા લેવા પડ્યા હતાં. ૪ દિવસ પછી હું સાજો થયો અને ડોક્ટરે મને કહ્યું કે કેનેડા ખૂબ સુંદર દેશ છે અને તમને આવો અનુભવ થયો એ નસીબ પર છોડી દેજો અને કેનેડામાં પ્રવાસ કરવાનું ટાળશો નહીં. મેં ડોક્ટરને કહ્યું કે જ્યાં સુધી કેનેડામાં તમારા જેવા અને પેલા ટ્રક ડ્રાઈવર જેવા માણસો છે ત્યાં સુધી મને કેનેડા ફરી ફરી આવવાનું મન થશે.

    ચંદુ રાઠોડ, તેમના પત્ની, અને તેમના પુત્ર બસમા પાછા બફેલો ગયાં. તેણે મારા પર ૧ લાખ  ડોલરનો કેસ કર્યો.  અમારા સંબંધો તૂટી ગયાં.

    આ અનુભવ પછી મને થયું કે મારે હવે લગ્ન કરી લેવા જોઈયે. એકલતામાં જિંદગી પસાર કરવાનો કોઈ મતલબ નથી. પરંતુ જે-જે છોકરી સાથે હું ડેટિંગ કરતો એ બહુ બોલકણી અને દેખાવ કરતી હતી. વાત વાત માં ટોકતી,, મનસુખ સીધો બેસ, હાથ ટેબલ પર ના મુકાય, છરી કાંટો આમ જ પકડાય, છીક ખાઈએ તો તકલીફ, પાન ખાઈએ તો તકલીફ વગેરે-વગેરે, આ બધાથી હું તંગ આવી ગયો હતો.

    લગ્ન માટેના પ્રયત્નોઃ

    જુલાઇ મહિનામાં મને મેન્ચેસ્ટરથી એક પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું કે અમારી જ્ઞાતીના એક સજ્જન છે તેમને પાંચ બહેનો છે. એમાંની એકનું તે લગ્ન કરવા માંગે છે. તેઓ મુંબઈમાં મારા કાકા-કાકીને પણ મળેલા. તેમણે મને મેન્ચેસ્ટર આવવા આગ્રહ કર્યો. મેં કાકાને ફોન કરીને વાત જણાવી અને હું મેન્ચેસ્ટર પહોંચી ગયો.

    હરિશભાઈ સોલંકી મેન્ચેસ્ટર પાસે બોલ્ટન ગામમાં રહેતા હતાં. તેમની પાંચ બહેનોમાં લિલાવતી બીજા નંબરે હતી. સ્વભાવે ખૂબ શાંત અને ખૂબ જ માયાળુ. તેની સાથે હું એક અઠવાડિયું ફર્યો. હું જેટલું પૂછું એનો એ માત્ર એક એકાક્ષરી જ જવાબ આપે. કોઈ રોકટોક નહીં, કે મને કોઈ જ સુધારવાની કે મારી ભૂલો શોધવાની કોશિષ નહિ. અમે સાથે બગીચામાં ફર્યા, સાથે ‘ફિડલર ઓન ધ રૂફ’ નામનું પીકચર જોયું. મને એની સાથે ખૂબ જ મજા આવી. એટલે મેં મનોમન નક્કી કર્યું કે જો પરણવું હોય તો આનાથી સારું પાત્ર નહીં મળે.

    હું જ્યારે ૧૯૬૯ માં અમેરિકા આવ્યો તે જ અરસામાં મારી સાથે મારી જ્ઞાતિના બીજા બે યુવકો પણ અમેરિકા આવેલા અને અમારા ત્રણેના ફોટા અમારી જ્ઞાતિની માસિક પત્રિકામાં છપાયા હતાં. લિલાવતીએ એ ફોટાની કોપી ફાડીને પોતાની પાસે રાખી હતી. અમે આવેલા એ ત્રણે જણમાંથી બીજા બે યુવકોના લગ્ન થઈ ગયાં હતાં અને હવે હું એકલો જ બાકી હતો. હવે અમે બંને લગ્ન માટે સંમત હતાં.

    ઓક્ટોબરમાં હું બોલ્ટન ગયો અને ઘરમાં જ લગ્નવેદી અને સગાવહાલાઓની સાક્ષીમાં મારા લિલાવતી સાથે લગ્ન થયાં. લગ્નમાં બધા તેમના પક્ષનાજ હતાં કારણ કે કાકા-કાકી કે બાને બોલાવી શકાય એમ નહોતું. ત્યાર પછી અમે લગ્ન રજીસ્ટર કરાવ્યા અને મેરેજ સર્ટિફિકેટ મેળવી લિવરપુલ જઈને લિલાવતીના વિઝા ઇમિગ્રેશન માટે ફાઇલ કર્યું. ત્યાર બાદ અમે લંડન અને પેરિસ હનીમુન માટે ગયાં. એક અઠવાડિયું હનીમુન કરી હું પાછો બફેલો આવી ગયો અને લિલાવતીની આવવાની રાહ જોવા લાગ્યો.

    આ અરસામાં લિલાવતીની મોટી બહેન દમયંતિ અને તેના પતિ ધીરજલાલને કેનેડાનું ઈમિગ્રેશન મળી ગયું હતું એટલે બફેલો આવતા પહેલા હું એમની સાથે મેન્ચેસ્ટરથી ટોરોંટો ગયો. ત્યાં મેં ગાડી ભાડે કરી, તેમના માટે ફરીને અપાર્ટમેંટ શોધી આપ્યું અને ઘર વખરીનો સામાન વસાવી આપ્યો અને પછી હું બફેલો પહોંચેલો.

    લિલાવતીને વિઝા ફેબ્રુઆરીમાં મળ્યો અને તે દમયંતીના બાળકો સાથે ટોરોંટો પહોંચી ગઈ અને હું એને ટોરોંટોથી બફેલો લઈ આવ્યો. બફેલો આવીને લિલાવતીએ ઘર સંસાર સંભાળી લીધો. નોકરી શોધવાની પણ શરૂઆત કરી. ગાડીના લાઈસન્સ માટે પણ ભણવાનું ચાલુ કર્યું. પહેલા છ મહિના આછી પાતળી નોકરી કરી અને પછી તેને બફેલો જનરલ હોસ્પિટલમાં એકાઉન્ટિંગના પેરોલ (પગાર) વિભાગમાં નોકરી મળી ગઈ.

    લિલાવતી જ્યારે અમેરિકા આવી ત્યારે તેના ભાઈએ તેને ૬૦૦ પાઉન્ડ ભેટ તરીકે આપેલા. જેને વટાવતાં ૧૫૦૦ અમેરિકી ડોલર જેટલા મળેલા. તે દરમ્યાન કાકાનો મુંબઈથી કાગળ આવ્યો કે તેમને ફ્લેટ લેવાનો હતો. એટ્લે મેં લિલાવતીને સમજાવીને એ ૧૫૦૦ ડોલર કાકાને મુંબઈ મોકલાવી આપ્યા. કાકાએ એ પૈસા ગોરેગામમાં કોઈ બિલ્ડરને આપીને એક ફ્લેટ બુક કરાવ્યો. બે ત્રણ મહિના પછી ખબર પડી કે એ બિલ્ડર બધા પાસે બુકિંગના પૈસા લઈ લે છે પણ એની દાનત સારી નથી અને મને કાકાએ એમ કહ્યું કે મેં આપેલા પૈસા પણ ગયાં. ત્યારે મને ખૂબ દુઃખ થયું કે મારી વહાલી પત્નીના પોતાના પૈસે મારા કુટુંબને કરેલી મદદ આમ સાવ નકામી ગઈ. પણ પછી થોડા સમય બાદ મારા કાકાએ અંધેરી વેસ્ટમાં એક જગ્યામાં પાઘડી પેટે ૧૦૦૦૦ રૂપિયા આપ્યાં. મારુ એમ માનવું છે કે એ જગ્યા મારા મોકલેલા પૈસાથી લીધેલી, પણ મારા કાકાનું કહેવું એમ હતું કે એ એમણે પોતાના પૈસાથી લીધેલી હતી. આ વાતનો ખુલાસો કોઇ દિવસ થયો જ નહીં અને હવે તો કાકા પણ આ દુનિયામાં નથી રહ્યાં.

    બફેલોમાં અમારું એક નાનું મંડળ જેવુ હતું. તેમાં ૧૫ થી ૨૦ જેટલા નવપરિણિત દંપતિઓ હતાં. મહિનામાં એક દિવસ અમે કોઈના ઘરે બધા  ડિનરની પાર્ટી કરતાં. પુરુષો બધા દારૂ પિતા, પત્તા રમતા, જોક્સ કરતાં, વાતો કરતાં અને સ્ત્રીઓ બધી પોત-પોતાના સુખ દુઃખની વાતો કરતી અને પતિઓના નામની પંચાત બેઠક કરતી. બધા હસતાં, રમતાં અને આનંદ કરતાં અને ખૂબ મજા કરતાં. અમે બધા એક બીજાની ખૂબ નિકટ આવી ગયાં હતાં.

    આવી જ એક પાર્ટીમાં એક એવી ઘટના બની જે કાયમ માટે જીવનમાં છાપ મૂકી ગઈ. પાર્ટીમાં જે યજમાન હોય તે બધા માટે પીણાંની વ્યવસ્થા કરતાં. એમાં બીયર, વાઇન, વ્હીસ્કી, વગેરે-વગેરે પીણાં આવતા. એવામાં કોઈ એવરક્લિયર નામનો રમ લઈ આવ્યું હતું જેમાં આલ્કોહોલનું પ્રમાણ ૭૫ ટકા જેટલું હોય અને એણે કોઇને કીધા વગર એને શરબતમાં મેળવી દીધું.

    અમારામાં એક યુવાનને એ શરબત ખૂબજ ભાવ્યું એટલે એણે તે ત્રણ ચાર ગ્લાસ શરબતના પી લીધા હતાં. અને પાર્ટી પતી ત્યારે ઘરે જતી વખતે પણ પાછો એક ગ્લાસ શરબત પાછું પીધું. પછી એ એની પત્ની સાથે ગાડીમાં ઘરે જવા રવાના થયો ત્યાં સુધીમાં શરબતની અસર થવા માંડી હતી અને એવી પીધેલી હાલતમાં એને હાઇવે પર પોલીસે પકડી લીધો. દારૂની અસર હેઠળ ગાડી ચલાવવાના અપરાધમાં એનું લાઈસન્સ રદ્દ થઈ ગયું. એની પત્ની પણ નવી નવી જ અમેરિકા આવી હતી. માટે ગાડી વગર એમણે ખૂબજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો. પણ આ ઘટના પછી મહિલા મંડળે ફતવો બહાર પાડ્યો કે હવે પછી પાર્ટીઓ માં આલ્કોહોલ વગરના શરબત પીરસવામાં આવશે અને કોઈ દારૂ નહીં આવે. અમને ખૂબજ દુઃખ થયું કે અમારી નાદાનિયતને લીધે અમારા મિત્રને ખૂબ તકલીફનો સામનો કરવો પડ્યો, નસીબ જોગે કોઈ એક્સિડંટ ના થયો. અમે બધાએ એની માફી માંગી અને ત્યાર પછી અમે કાયમ માટે દારૂથી દૂર રહ્યાં.

     મકાન

    તે દરમ્યાન યુનિવર્સિટીએ નક્કી કર્યું કે ઉત્તર વિભાગમાં તે નવું મોટું વિશાળ બાંધકામ કરશે અને તે પૂરું થતાં બધા ત્યાં રહેવા જશે. રાતો રાત બિલ્ડરોએ તે વિભાગમાં રહેવાના ઘરો બાંધ્યા, પરંતુ યુનિવર્સિટીએ એક વર્ષ મુલતવી રાખ્યું એટલે એ બંધાયેલા ઘરો બધા ખાલી જ પડ્યા હતાં.

    અમારા એક મદ્રાસી મિત્ર શ્રીરામ રામાસ્વામીએ આવુ એક ડુપ્લેક્સ મકાન માત્ર ૪૫૦૦૦ ડોલર માં ખરીદ્યું હતું. ડુપ્લેક્સ મકાન હોવાને લીધે એને બે ઘર બાજુ બાજુમાં હતાં અને વચ્ચે એક દીવાલ જ હતી. એટલે એક મકાનમાં એ પરિવાર સાથે રહેતો હતો અને બીજું મકાન એણે ભાડે આપી દીધું હતું. એણે મને પણ એમ કરવા સમજાવ્યો. એટલે મેં પણ એની જેમ એક ડુપ્લેક્સ મકાન ૪૨૩૦૦ ડોલરમાં ખરીદ્યું. ૫૦૦૦ ડાઉન પેમેંટ હતું, ૫૦૦૦ અમે બિલ્ડરને સેકન્ડ મોર્ટગેજના આપ્યા અને ૩૨૪૦૦ ડોલરની લોન હતી જેના માસિક હપ્તા ૩૬૯ ડોલર ભરવાના આવતા. બાજુનું મકાન અમે માસિક ૨૨૫ ડોલરના ભાડે આપી દીધું એટલે મને મહિને ૧૪૪ ડોલરમાં મારુ આખું ઘર વાપરવા મળ્યું. અમે નવું ફર્નિચર, ડાઈનિંગ ટેબલ, વગેરે વસાવ્યું. આમ અમેરિકામાં છ વર્ષમાં અમે અમારા પોતાના ઘરના માલિક બની શક્યા કારણ કે શ્રીરામ જેવા મિત્રો નો સાથ હતો.

    ટેક્ષાસનો પુકાર

    એ જ અરસામાં મારા એક ચેકોસ્લોવેકિયન મિત્ર સ્ટીવ ટેલરને હું ગણિતના ટ્યુશન આપતો હતો. તેમના પત્નીને નર્સિંગમાં ગાલ્વેસ્ટન ટેક્સાસમાં નોકરી મળી એટલે તેઓએ બફેલોથી ટેક્સાસ સ્થળાંતર કર્યું. તેના મને કાયમ પત્રો આવતા કે તું એક વાર ટેક્સાસ આવીજા, તું બફેલો ની ઠંડી, બરફ બધુ ભૂલી જઈશ. હું એના અતિ આગ્રહને માન આપીને લિલાવતીની સાથે સ્પ્રિંગની રજાઓમાં ગાલ્વેસ્ટન ટેક્સાસ ફરવા ગયો. ગાલ્વેસ્ટન એ હ્યુસ્ટનથી ૪૫ માઈલ દૂર આવેલો એક ટાપુ છે. દરિયા કિનારે હોવાથી ચોખ્ખા હવા પાણી અને મેડિકલ યુનિવર્સિટી જ્યાં નોકરી મળવાની શક્યતા વધારે દેખાઈ. સ્ટીવ ટેલરે મારી ઓળખાણ એક મદ્રાસી ડોક્ટર રામાનુજમ સાથે કરાવી આપી. રામાનુજમ અને એમના પત્ની સાવિત્રી અમારા મિત્ર બની ગયાં અને રામાનુજમની મદદથી મને ગાલ્વેસ્ટનમાં નોકરી મળી ગઈ. અમારા બફેલોના મકાનમાં ગૃહ પ્રવેશને ફક્ત ૮ મહિના જ થયાં હતાં અને હવે મકાન, ઘરવખરી બધુ વેચીને ગાલ્વેસ્ટન જવાનું હતું. ૧૨૦૦ ડોલરમાં જે ડાઈનિંગ ટેબલ અને કેબિનેટ સેટ વસાવ્યો હતો તે માત્ર ૪૦૦ ડોલરમાં વેચવો પડ્યો. ફર્નિચરને પણ પાણીના ભાવે વેચવું પડ્યું. ઘર પણ મારા એક મિત્રને ૪૩૦૦૦ માં વેચ્યું.  આ બધુ વેચતા તો વેચી દીધુ પરંતુ અમારા અને તેમાંય ખાસ કરીને મારી પત્નીના દિલમાં ઊંડો ઘા મૂકીને ગયું. ગાલ્વેસ્ટન, ટેક્ષાસ સ્થળાંતર થવાનું જ હતુ કારણકે બફેલોની કાતિલ ઠંડીથી હું અને તેમાંય  ખાસ કરીને મારી વ્હાલ્સોયી પત્ની ત્રાસી ગયાં હતાં.

    ૨૪ જાન્યુઆરી ૧૯૭૭ના અમે બફેલો છોડીને ગાલ્વેસ્ટન આવ્યા અને ૨૫ જાન્યુઆરીના બફેલોમાં બરફનું તોફાન આવ્યું. એટલો બરફ પડ્યો કે બફેલોનો વાહન વ્યવહાર અને જીવન વ્યવહાર ખોરવાઈ ગયાં. લોકો ઘરની બહાર નીકળી ન શકતા હોવાથી તેમને હેલિકોપ્ટર દ્વારા ખોરાકના પડિકા પહોંચાડવામાં આવતા, આવો કપરો સમય આવ્યો હતો. અમારા સદનસીબે અમે એક દિવસ અગાઉ જ બફેલો છોડી ગાલ્વેસ્ટન આવવા માટે નીકળી ગયાં હતાં.  ગાલ્વેસ્ટનમાં અમે એક અઠવાડિયું હોટલમાં રહ્યા અને પછી અમને એક અપાર્ટમેંટ મળ્યું જેમાં સારી એવી ગંદકી અને વાંદા વગેરે હતું. લિલાવતીને જરાય ગમ્યું નહીં પણ તેણે ચૂપચાપ ચલાવી લીધું અને દવા છાંટી વાંદાઓનો ત્રાસ દૂર કર્યો. તેને કાયમ બફેલો અને એનું મિત્રવૃંદ યાદ આવતું. માણસ પ્રગતિના નામે કેટકેટલાના દિલ દુભાવતો હોય છે.


    ક્રમશઃ

  • વિદ્યાર્થીઓ માટે : ગીતાનાં શાશ્વત સૂત્રો – ગીતાની પૂર્વભૂમિકા

    પ્રકાશકઃ જોય એન્ટરપ્રાઇઝ, જી૫,શક્તિ સ્ક્વેર, મૅનેજમૅન્ટ એન્ક્લેવ સામે,  નેહરૂ પાર્ક  રોડ, અમદાવાદ  ૩૮૦૦૧૫ ISBN: 978-93-48694-79-9    કિંમતઃ રૂ. ૨૫૦/-

    હરેશ ધોળકિયા

    ભગવદ્‍ ગીતા કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી. તે મહાભારતનો એક નાનકડો ભાગ છે.

    ભારતીય સંસ્કૃતિના બે મહાન ગ્રંથો છે “રામાયણ” અને “મહાભારત.” બંને ભારતીય સંસ્કૃતિના પાયાના મૂલ્યોને સમજાવે છે. મહાભારત વિશાલ ગ્રંથ છે. તેના આશરે એક લાખ શ્લોકો છે. તેમાં કુરુ વંશની કથા છે. કુરુ વંશના બે સંતાન ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રોની કથા છે. ધૃતરાષ્ટ્રના સો પુત્રો છે, પણ જાણીતો દુર્યોધન છે. પાંડુના પાંચ પુત્રો છે. દુર્યોધન પાંડવોને ગાદી  મળે તે ઈચ્છતો નથી. એટલે તે શરૂઆતમાં પાંડવોને મારી નાખવાના પ્રયાસો કરે છે, પણ પાંડવો બચતા રહે છે. છેવટે તે દગાથી યુધીસ્થીરને જુગારમાં હરાવે છે અને બાર વર્ષ વનમાં મોકલી દે છે. તેરમું વર્ષ તેમને ગુપ્ત વાસમાં રહેવાનું હોય છે. આ બધું કર્યા પછી પણ તે પાંડવોને રાજ્ય આપતો નથી. એટલે રાજ્ય મેળવવા પાંડવો કૌરવો સામે યુદ્ધ જાહેર કરે છે અને બંને વચ્ચે આધાર દિવસનું યુદ્ધ લડાય  છે જેમ પાંડવો અને થોડા બીજા સિવાય લગભગ બધા જ મ્રત્યુ પામે છે.

    યુદ્ધની શરૂઆતમાં અર્જુન કૃષ્ણને કહે છે કે તે બંને સેનાઓ પર નજર કરવા માગે છે. એટલે કૃષ્ણ રથને બંને સેનાઓ વચ્ચે ઊભાડે છે. અર્જુન બધા પર નજર ફેંકે છે. ત્યારે તેને સામી સેનામાં ભીષ્મ, દ્રોણ વગેરે વડીલો અને મિત્રો દેખાય છે અને તે  ઢીલો થઇ  જાય છે અને કૃષ્ણને કહે છે કે તે આ બધાને મારીને રાજ કરવા માગતો નથી. એમ કહી તે પોતાના હાથમાંના ધનુષ્ય-બાણ નીચે મૂકી દે છ અને “ નહિ લડું” કહી બેસી જાય છે. ત્યારે કૃષ્ણ અર્જુનને તેની ફરજનું ભાન કરાવવા અને સત્ય સમજાવવા જે ઉપદેશ આપે છે, તે આ ગીતા. કૃષ્ણ ભગવાન મનાય છે, માટે તેઓ જે બોલે છે તેને “ ભગવાન ઉવાચ” કહ્યું છે. તે સાતસો શ્લોકોમાં અર્જુનને  ઉપદેશ આપે છે અને તેની ફરજનું  ભાન કરાવે છે. અર્જુન  તેમની  વાત સમજે છે અને હવે  તે લડવા તૈયાર થાય છે.

    આ સાતસો શ્લોકોમાં જે ઉપદેશ આપ્યો છે, તે ભારતીય તત્વજ્ઞાનનો  સાર છે. ભારતીય તત્વજ્ઞાન એટલે “ઉપનિષદો.” તેમાં જ સમગ્ર જ્ઞાન છે. પણતે સમજવા ખૂબ કઠિન છે. એટલે વ્યાસે તેમને આ ગીતાના માધ્યમથી સરળ કરી સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ગીતાને એટલે જ ઉપનિષદનો સાર કહેવાય છે.

    સમગ્ર ગીતાને અઢાર  અધ્યાયમાં વહેંચી નાખી છે. દરેક અધ્યાયમાં વિવિધ મુદ્દાને સમજાવ્યા છે. મહાભારતમાં તો બધા અધ્યાયોને છેડે “ભીષ્મ  પર્વ” લખેલ છે, પણ સમય જતા ગીતા પોતે જ એક સ્વતંત્ર ગ્રંથ બની ગયો અને તેના દરેક અધ્યાયને સ્વતંત્ર નામ આપવામાં આવ્યા.

    ગીતા એક અદ્‍ભૂત ગ્રંથ છે. તેનું તત્વજ્ઞાન ખૂબ ઊંડું છે. તેમાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગને સમજાવ્યા છે. આ ઉપદેશ એટલો તો સરળ અને વ્યવહારુ રીતે મૂક્યો છે કે બધાને સમજાઈ જાય. આ ઉપદેશ સનાતન સત્ય પર આધારિત છે. એટલે આજે પાંચ હજાર વર્ષ પછી પણ તે એટલો જ ઉપયોગી છે અને આજે તેને મૅનેજમૅન્ટમાં પણ ઉપયોગમાં લેવાય છે.

    ગીતા મુખ્યત્વે મનુષ્યમાં રહેલ ચેતનાની વાત કરે છે. શરીર ભલે મર્ત્ય છે, નાશવંત છે, પણ તેમાં રહેલ આત્મા અમર છે. જો વ્યક્તિ આ આત્માને ઓળખી લે, તો તે પણ આ અમરત્વનો અનુભવ કરી શકે. પણ સામાન્ય સંદર્ભમાં મનુષ્યે સ્વસ્થ કેમ રહેવું અને પરમ ચેતનાને કેમ જાણવી તેના પર જ વાત કરી છે. તેને કૃષ્ણ-અર્જુનના સંવાદ દ્વારા કહી છે. એક વાર જો ગીતાના તત્વજ્ઞાનને સમજી શકાય, તો વ્યક્તિનું સમગ્ર જીવન સ્વસ્થ રહે અને તે આનંદથી જીવી શકે. અને આ બંને બધાને જોઈએ છીએ, એટલે ગીતા સમગ્ર જગત માટે ઉપયોગી રહી છે અને આજે પણ છે. તે માત્ર ધર્મ ગ્રંથ ન રહેતા જીવન ગ્રંથ બની ગયો છે અને સમગ્ર જગતના જિજ્ઞાસુઓ તેનો અભ્યાસ કરે છે અને તેના તત્વજ્ઞાનનો લાભ લે છે.

    આ સંદર્ભમાં અહીં પણ ગીતાને એ જ રીતે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ, યુવાનો અને વૃદ્ધો—બધાને સમજાય તેવી ભાષામાં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો છે.


    હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ  રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • રાષ્ટ્રપતિ પદની ઓફર એમણે કલાને ખાતર નકારી હતી….

    નિસબત

    ચંદુ મહેરિયા

    સાહિત્ય, સંગીત, નૃત્ય અને કલા બાબતમાં અરસિક ગણાય એવા મોરારજી દેસાઈએ એમના પ્રધાનમંત્રીત્વકાળ(૧૯૭૭-૧૯૭૯)માં એક નૃત્યાંગનાને રાષ્ટ્રપતિ પદની ઓફર કરી હતી! જોકે  તેમણે તે કલાને ખાતર સાદર નકારી હતી! આ કોઈ સામાન્ય નૃત્યાંગના નહોતા. ભરતનાટ્યમનાં પ્રતિષ્ઠાપક કલાધરિત્રી અને દક્ષિણ ભારતના શાંતિનિકેતન તરીકે ખ્યાત ટોચની કલા સંસ્થા ‘કલાક્ષેત્ર’ના અધિષ્ઠાત્રી રુક્મિણી દેવી અરુન્ડેલ  હતાં. ૧૯૭૭માં તત્કાલીન વડાપ્રધાન મોરારજીભાઈએ તેમને રાષ્ટ્રપતિ પદની ઓફર કરી હતી, પરંતુ રાજકારણીઓ સાથે કલાનો મેળ શક્ય ન હોવાની ભાવનાને કારણે અને રાજકારણી માહોલને વશ વર્તવાની અનિચ્છાને લીધે તેમણે ઓફર નકારી હતી. જો એ શક્ય બન્યું હોત, તો તેઓ કદાચ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની શક્યાં હોત.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    રુક્મિણી દેવી અરુન્ડેલનો જન્મ ૨૯મી ફેબ્રુઆરી ૧૯૦૪ના રોજ તમિલનાડુના મદુરાઈમાં થયો હતો. પિતા નીલકંઠ શાસ્ત્રી વ્યવસાયે ઈજનેર હતા અને સંગીતના શોખીન હતા. પુત્રીને પણ પિતાનો સંગીત શોખ બચપણથી જ સ્પર્શી ગયો. રુક્મિણી દેવીનું શાળા શિક્ષણ અલ્પ સમયનું હતું. પરંતુ આંતરિક શક્તિઓ એટલી તેજ હતી કે કલાક્ષેત્રે મહત્વનું યોગદાન કરી શક્યાં. સંસ્કૃતના વિદ્વાન પિતા,  થિયોસોફિકલ સોસાયટીની પ્રવૃતિઓમાં સક્રિય હતા. તેમનું કુટુંબ અડ્યારમાં રહેતું હતું તે દરમિયાન થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ એની બેસન્ટ પાસે આવેલા ઓસ્ટ્રેલિયાના કેળવણીકાર ડો.જ્યોર્જ અરુન્ડેલ સાથે, સોળ વરસના રુક્મિણીનો પરિચય થયો. પરિચય પાંગરી, પ્રેમમાં અને લગ્નમાં પરિણમ્યો. રુઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારની દીકરી મોટી ઉંમરના વિધર્મી, વિદેશી યુવક સાથે લગ્ન કરે તે સમાજને સ્વીકાર્ય નહોતું. વિરોધને કારણે તેઓને ઘર છોડી મુંબઈ જતાં રહેવું પડ્યું હતું.

    લગ્ન પછી રુક્મિણી દેવીએ થિયોસોફિકલ ફિલસૂફી સમજવા અને પચાવવા માંડી. આ હેતુસર પતિ જ્યોર્જ સાથે યુરોપનો પ્રવાસ કર્યો. આ પ્રવાસ દરમિયાન સોવિયેત નર્તકી આના પાવલોવ સાથે ભેટો થયો હતો. એમની સહાયથી કુલિયો નૉર્ડી પાસેથી એમણે પશ્ચિમી નૃત્યો શીખવાનો આરંભ કર્યો. વિદેશી નહીં ભારતીય નૃત્યોમાં પારંગત થવાની આના પાવલોવાની સલાહ પછી  રુક્મિણી દેવીએ ભારતીય નૃત્યો તરફ લક્ષ આપ્યું. જ્યારે તેઓ ભારતીય નૃત્યની તાલીમ લેતાં હતા ત્યારે તે દાસી આટ્ટમ કે સદીરનાચ તરીકે ઓળખાતું હતું. આ નૃત્ય મોટે ભાગે મંદિરોમાં દલિત દેવદાસીઓ કરતી હતી.

    લોકસભામાં મુથુલક્ષ્મી રેડ્ડીએ દેવદાસી પ્રથા અને તેમના મંદિરોમાં નૃત્યો પર પ્રતિબંધ મૂકતો ખરડો  રજૂ કર્યો ત્યારે તેને ધીકતી વકીલાત છોડી ઈ. કૃષ્ણાઆયરે ટેકો આપ્યો. કલાનિધિ નારાયણ નામના બ્રાહ્મણ મહિલાએ ભરતનાટ્યમનો જાહેર પ્રયોગ કર્યો. બરાબર આ જ સમયે રુક્મિણી દેવી  નૃત્યની તાલીમ લેતાં હતાં. ચિદમ્બરમ મંદિરમાં એમનું આરંગેત્રમ યોજાયું હતુ. પતિના સાથ અને પ્રોત્સાહન થકી ૨૮ વરસની મોટી વયે નૃત્ય સાધના આરંભ્યા છતાં તેઓ તેને આત્મસાત કરી શક્યાં હતાં. ૧૯૩૫માં થિયોસોફિકલ સોસાયટીના હીરક મહોત્સવમાં દેવદાસીઓના નાચ તરીકે ઓળખાતું ભરતનાટ્યમ તેમણે રજૂ કર્યું હતુ. એ રીતે તેનું પ્રતિષ્ઠાપન કર્યું. ૧૯૩૬માં રુક્મિણી દેવી અરુન્ડેલે અડ્યાર એકેડેમી ઓફ આર્ટ્સની સ્થાપન કરી હતી. જે કલાક્ષેત્ર તરીકે નામના પામી હતી.

    માત્ર ભરતનાટયમના ઉધ્ધારક તરીકે જ એમણે કામ કર્યું. નથી.પરંતુ જીવનનાં ઘણાં ક્ષેત્રોમાં એમનું પ્રદાન છે. ૧૯૩૮માં અરુન્ડેલ દંપતિએ મેડમ મોન્ટેસરીની મુલાકાત લીધી હતી અને તેમને ભારતમાં નોતરી બાળશિક્ષણના ક્ષેત્રે નવી ભોં ભાંગવાનું તાક્યું હતું. ૧૯૩૯માં તેમણે મદ્રાસ( આજના ચેન્નઈ)માં બાળકોની મોન્ટેસરી શાળા સ્થાપી હતી. ૧૯૪૫માં એમના પતિના અવસાન પછી એમણે ” કલાક્ષેત્ર’ ના વિકાસને પ્રાધાન્ય આપ્યું હતું. નિ:સંતાન રુક્મિણી દેવી માટે ‘કલાક્ષેત્ર’ જ એમનું સાચું સંતાન બની રહ્યું.

    ૧૯૫૨થી સતત બે ટર્મ તેઓ રાજ્યસભાના  રાષ્ટ્રપતિ નિયુક્ત કદાચ પ્રથમ મહિલા સભ્ય હતાં. એ સમય દરમિયાન  તેમણે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાનો નિષેધ કરતો કાયદો પસાર કરાવ્યો હતો. પ્રાણીઓ પ્રત્યેની કરુણા અને શાકાહારવાદની  ઝુંબેશના એ અગ્રણી હતાં. પ્રાણીઓ પરના પ્રયોગો થકી બનાવાતી એલોપથિક. દવાઓ અને એમની કતલથી બનાવાતાં સૌંદર્ય પ્રસાધનો- સાધનો, ફેશનેબલ વસ્ત્રો અને સાપ જેવાં પ્રાણીઓની ચામડીથી બનાવાતી ચીજવસ્તુઓનો તે કદી ઉપયોગ કરતાં નહીં. તેઓ બ્યુટી વિધાઉટી ક્રુઅલ્ટી સંસ્થાના પણ હોદ્દેદાર હતા. એ નાતે તેમણે વિચારો અને આચરણમાં સમાનતા રાખી હતી. ૧૯૬૨માં સ્થપાયેલા એનિમલ વેલ્ફેર બોર્ડના તેઓ સ્થાપક અધ્યક્ષ હતા. રાજ્યસભાના નોમિનેટેડ  સભ્ય તરીકેની તેમની મહત્વની કામગીરીમાં તમામ ભારતીયોને મળેલા સમાન મતાધિકારનો વિરોધ અને શિક્ષણના સવાલોને રાજકીય પક્ષોના નીચા અગ્રતાક્રમનો વિરોધ પણ હતાં.

    ૧૯૫૬માં રુક્મિણી દેવી અરુન્ડેલને પદમ ભૂષણનું નાગરિક સન્માન મળ્યું હતું. ૧૯૫૭માં તેમને સંગીતનાટ્ય અકાદમી એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. મૂંગા પ્રાણીઓની કતલને રોકવાના પ્રયાસો માટે બ્રિટનની સંસ્થાનો ક્વીન વિકટોરિયા એવોર્ડ તેમને ૧૯૫૮માં મળ્યો હતો. વિશ્વભારતી યુનિવર્સિટીએ એમને દેશકોત્તમની અને અમેરિકાની રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીએ એમને ડોકટરેટની માનદ પદવી એનાયત કરી હતી. બનારસ હિન્દુ યુનિવર્સિટીએ ૧૯૮૨માં તેમને ડોકટરેટથી સન્માન્યા હતાં. ૧૯૮૪માં મધ્યપ્રદેશ સરકારે તેમને કાલિદાસ પુરસ્કાર એનાયત કર્યો હતો. દેશની ટોચની નૃત્ય પ્રતિભાઓ મૃણાલિની સારાભાઈ , શુભ લક્ષ્મીખાન, યામિની કૃષ્ણમૂર્તિ અને ઉમારાવના તેઓ ગુરુ હતા.

    ૨૪મી ફેબ્રુઆરી ૧૯૮૬ના રોજ ચેન્નઈમાં તેમનું નિધન થયું હતું. ભરત નાટ્યમને પુન: પ્રતિષ્ઠ કરનાર રુક્મિણી દેવી અરુન્ડેલના કાર્યની ભરતનાટ્યમની વર્તમાન સ્થિતિ સાથે તુલના કરતાં ચિંતા ઉપજે છે. એક કાળે દેવદાસીઓના નૃત્ય તરીકે ઉપેક્ષિત અને અપ્રતિષ્ઠિત લેખાતું ભારતીય નૃત્ય આજે ઊંચા ઘરાણાની સ્ત્રીઓના શોખની ચીજ બની ગયું છે. જાહેરમંચનું નૃત્ય દીવાનખાનામાં કેદ થઈ ગયું છે. લગ્ન પસંદગીનું અનિવાર્ય અંગ બની ગયું છે. ખોટા દેખાવ અને ગ્લેમરનો ભોગ બની ગયું છે. રુક્મિણી દેવીના જીવતા જીવ જ નૃત્યની આ દશા હતી.

    દેવદાસીઓનું ગણાતું નૃત્ય આજે શ્રીમંત પરિવારોનું મનોરંજનનું સાધન બની રહ્યું છે. ત્યારે પુન:પ્રતિષ્ઠ થયેલ ભરતનાટ્યમની , રુક્મિણી દેવીએ ચાહેલી પેલી પ્રતિષ્ઠા સાથેની એની શુધ્ધિ જરૂરી છે. અમીરો અને કથિત ઉચ્ચવર્ણના  કેદખાનામાંથી એ બહાર નીકળી જાહેર મંચ પર આવે અને આમ મહિલાઓનું નૃત્ય બની રહે એ જ રુક્મિણી દેવી અરુન્ડેલના જીવનકાર્યોનું સાચું તર્પણ હશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • એક સાહિત્યિક તીર્થ અને તેમાં રહેલી પુસ્તકપ્રતિમાઓ – ભરુચ જિલ્લાનો કેળવણી ખાતાનો ઈતિહાસ

    આદિમુદ્રિત ગ્રંથવૈભવ

    નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્‍દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્‍ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ  વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.

    ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્‍ક પર વાંચી શકાશે.

    https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/


     

    બીરેન કોઠારી

    પુસ્તક ક્રમાંક: ત ૪૯/૦૧૭૫૪

    પુસ્તકનું નામ: ભરુચ જિલ્લાનો કેળવણી ખાતાનો ઈતિહાસ

    રચનાર: મેહેતાજી ગણપતરામ રાજારામ

    છાપનાર: રણછોડલાલ ગંગારામ

    પ્રકાશન વર્ષ: ૧૮૭૭

    કિંમત: ૧૨ આના

    પૃષ્ઠસંખ્યા: ૧૦૦

    વિગત: પુસ્તકના ઉઘડતે પાને લખાયું છે: ‘આ ગ્રંથ છપાવી પ્રસિદ્ધ કરવામાં ભરૂચ જિલ્લાના ઘણાખરા મેહેતાજીઓએ સારી સહાયતા આપી છે.’ ભરૂચ વિભાગના તત્કાલીન ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્‍સ્પેક્ટર રાવસાહેબ ગોપાળજી ગુલાબભાઈના સૂચનથી આ આખો ઈતિહાસ પદ્યસ્વરૂપે લખવામાં આવ્યો છે.

    આરંભે સંક્ષિપ્તમાં ભરુચ જિલ્લાની ભૂગોળ અને તેનો પ્રાચીનથી આજ સુધીનો ઈતિહાસ પણ પદ્યસ્વરૂપે છંદોબદ્ધ અપાયો છે. એ પછી કેળવણીના ઈતિહાસને કુલ છ કાળમાં વિભાજીત કરી દેવામાં આવ્યો છે.

    સૌથી છેલ્લે ‘આશીર્વાદાષ્ટક’ છે.

     

    આ પુસ્તક નીચેની લીન્‍ક પર વાંચી શકાશે.

    https://rekhtagujarati.org/ebooks/detail/ganapatram-rajaram-mehetaji-ebooks


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્નું : પ્રકરણ ૨ : પત્રની શરૂઆત

    સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’

    શ્રી જગન્ન્નાથપુરી,
    તા. ૨૨ જાન્યુઆરી ૧૮૯૨.

    પ્રિય માસ્તર સાહેબ જોશીજી,

    પને કુદરતી લીલાનું અવલોકન કરવાનો શોખ છે, મને પણ કુદરતી કૃતિપર લક્ષ આપી, તેનું વર્ણન લખવામાં આનંદ આવે છે અને કાશ્મીર દેશ કુદરતી ખુબીનો જ સમુદાય છે તેથી તે વિષે આપને કાંઈક લખવું એવી મારી ઇચ્છા છે.

    ⁠જે રસ્તે અમે શ્રીનગર ગયા હતા તેજ રસ્તેથી પાછા આવ્યા છીએ. તો એકજ દેખાવનું બે વખત વર્ણન આપવું એ નીરસ લાગે છે તેથી પહેલાં શ્રીનગરનું વર્ણન આપી પછી રાવલપિંડી અને શ્રીનગર વચ્ચેના રસ્તામાં જે જે સુંદર દેખાવો આવે છે તેનું વર્ણન આપું છું.

    ⁠અમે શ્રીનગર ઑક્ટોબરની એકત્રીશમી તારીખે સવારે અગિયાર વાગે પહોંચ્યા. અમારાં વાહન, ગાડી અથવા ઘોડાં નહોતાં પણ અમે એક જાતની હોડીમાં બેઠા હતા. આ હોડીનું તળિયું દરિયામાંની હોડી જેવું હોતું નથી પણ ચપટ હોય છે, કારણકે આ હોડીને જેલમ નદીમાં ચાલવાનું છે હોય અને કોઈ કોઈ ઠેકાણે પાણી છીછરું હોવાને લીધે આવું તળિયું રાખવાની જરૂર છે. હોડી પાણીમાં માત્ર એકાદ વેંત ડૂબતી રહે છે અને ઉપર ઘાસનું છાપરૂં હોય છે, તેથી સખત પવનના ઝપાટાથી અથવા તોફાનથી ઊંધી વળી જવાની ઘણાને ધાસ્તી રહે છે. અમારે સ્હામે પૂર જવાનું હતું. તેથી અમે જ્યાંથી આ હોડીમાં બેઠા ત્યાંથી તેને ખેંચવી પડતી હતી. તેના અગાડીના ભાગમાં એક લાકડું ખોડી રાખે છે અને તેને એક દોરડું બાંધવામાં આવે છે; આ દોરડું ઝાલી હોડીને ખેંચવા માટે ચાર –પાંચ માણસો કિનારે ચાલ્યા જાય છે; અને હોડીને નદીની વચમાં રાખવાને એક માણસ તેના અગાડીના ભાગમાં લાંબો વાંસ લઈ ઉભેલો હોય છે. તે વાંસને તળિયામાં ખોસતો આવે છે અને હોડીને મરજી મુજબ વાળે છે. આ ખલાસીઓને કાશ્મીરમાં માંજી કહે છે અને હોડીને કિસ્તી કહે છે. અમારે આવી કિસ્તીમાં આશરે એંશી માઈલ મુસાફરી કરવાની હતી. એક્માં કુમારશ્રી ગીગાવાળા, હું અને અમારા પાસવાનો હતા, બીજીમાં પ્રાણજીવનભઈ અને એમનાં માણસો, ત્રીજીમાં રસોઇયા અને રસોડાનો સામાન અને ચોથીમાં બધો સામાન અને કેટલાંક માણસો. અકેક કિસ્તીનું દર માસે પંદર રૂપિયા ભાડું ઠરાવેલું હતું.

    ⁠જે જગ્યાએ અમો કિસ્તીમાં બેઠા ત્યાં અમારી બરદાસ માટે રાજ્ય તરફથી એક બ્રાહ્મણ મોકલવામાં આવ્યો હતો. આવા બ્રાહ્મણો કાશ્મીરમાં ઘણાં છે, અને તેઓ પંડિત કહેવાય છે. જે પંડિત અમારી બરદાસ માટે આવેલ હતો તેનું નામ વાસકાક હતું, પણ પાછળથી અમે એનું નામ કાગવાસ પાડેલું હતું. આ પંડિત અમારી સાથે ચાલ્યો. કિસ્તીવાળાએ કહ્યું કે, જો માંજીલોકો વધારે હશે તો અમે તમને શ્રીનગર એક દિવસ વહેલા પહોંચાડીશું. માંજી લાવવાનું કામ પંડિતને સોંપ્યું. પંડિત ત્રીસચાળીશ માણસોને પકડી લાવ્યો, પણ સવારે તો અમે એકે માંજી જોયો નહિ. બીજે દિવસે પણ એટલાંજ માણસોને પકડી લાવ્યો છતાં સવારે ચાર માણસો રહ્યાં. બીજા ક્યાં ગયાં ? અગાડીને દિવસે લાવેલ માણસમાંથી કામ કરવા એક્કે કેમ ન આવ્યું ? અમે પંડિતને કહ્યું હતું કે અમે એ લોકોને પૈસા આપશું; પણ પંડિતો ગરીબ લોકોને એક પાઈ પરખાવતા નથી. જે લોકોને તે પકડી લાવયો હતો તેમાંના દરેક પાસેથી તેણે પા પા અડધો રૂપિયો લઈ છોડી મૂક્યા. આ લોકો આવી રીતે પંડિતોના ગજવાં શા માટે ભરે છે? રાજ્યમાં કર્તાહર્તા પંડિતો જ છે. તેની સામેની ફરિયાદ કોઈ સાંભળે નહિ. માંજી લોકો ગરીબ અને અણસમજુ છ: તેઓની બિચારા માથે છપ્પનના પાટા પડે છે. તેઓની સ્થિતિ ગુલામ કરતાં પણ વધારે ખરાબ છે. પંડિતો તેઓને વેઠે કામ કરાવે છે, કામ ન કરે તો માર મારે છે. આવો એક માંજી અમારી હોડી ખેંચતો હતો તેણે અમને આ બધી વાત કરી. એ સિવાય પણ આ વાત સાચી માનવાને અમને ઘણાં કારણો મળ્યાં હતાં. એક વખત તો અમે માંજી લોકોને ભાગી જતાં, આ પંડિતને તેની પાછળ પડતાં, અને માર મારતાં નજરે જોયો. ત્યાર પછી અમે પંડિતને કહી દીધું કે હવેથી કોઈ માંજીને લાવવો નહિં; અને અમારૂં કામ કરવા આણેલા બિચારા ગરીબ માંજીઓને ખુશી કરી ઘેર જવા દીધા.

    ⁠શ્રીનગરના ધોરી રસ્તા, એ જેલમ નદી અને તેના ફાંટા છે. આથી ગાડી અને ઘોડાને બદલે રંગેલી કિસ્તીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે શ્રીનગરને કુદરતી બક્ષીસ ઘણી સારી મળેલી છે; તોપણ ત્યાંના રહેવાસી ગંદા, ગરીબ અને જંગલી જેવા હોવાને લીધે તેનો ઉપયોગ કેમ કરવો તે સમજતા નથી. શેહેર ઘણું જ ગંદું છે. સ્વચ્છતા એટલે શું, એ થોડા જ સમજે છે. ગરીબનાં ઝૂંપડા, તવંગરના ઘર, તેમજ મહારાજાના મહેલપર નળિઆંને બદલે ઘાસથી છવાએલાં માટીનાં છાપરાં હોય છે; તફાવત માત્ર એટલોજ છે કે શ્રીમંત લોકો ઘાસ કપાવી લીલા ગાલીચા જેવા છાપરાનો દેખાવ રાખે છે અને ગરીબ લોકો તેમ કરી શકતા નથી. મહારાજાની કિસ્તી પણ વગર રંગેલી અને ગંદી હોય છે. તો પછી ગરીબ માંજીની શી વાત કરવી ? ઘરને કોઈ પણ મરામત કરાવતું નથી, તેથી શહેર ખંડેર જેવું દેખાય છે.

    ⁠શ્રીનગરમાં ૧,૦૦,૦૦૦ માણસની વસ્તી છે, તેમાં બે ભાગ મુસલમાનના છે, અને એક પંડિતનો છે. સ્ત્રી પુરુષો ઘણાં ખૂબસુરત, દેખાવડાં અને કદાવર છે પણ શરીર અને કપડાં હમેંશા ગંદા જ હોય છે. મુસલમાન વર્ગ વેપાર અને બીજાં કામ કરી રોજગાર ચલાવે છે. મુસલમાનનો થોડો જ ભાગ રાજ્યકારભારમાં નોકરી પર છે, કારણ કે સત્તા પંડિતોના બાપની જ છે. ઈશ્વરકૃપાથી હવે તે સત્તામાં દિનપ્રતિદિન ઘટાડો થતો જાય છે.

    ⁠કાશ્મીરના મહારાજા પ્રતાપસિંહજીનો કામકાજમાં અભિપ્રાય પૂછવામાં આવે છે, અને એમના જ હુકમથી રાજ્યનો બધો કારભાર ચાલે છે એવો દેખાવ મહારાજાના નાનાભાઈ અમરસિંહજીએ રાખ્યો છે. પણ કર્તાહર્તા એક કાઉન્સિલ છે. કાઉન્સીલના પ્રેસિડન્ટ અમરસિંહજી છે. ખુદ મહારાજા રાજ્યમાં ઘણું થોડું ધ્યાન આપે છે. અહીં ગવર્મેંટ તરફથી એક રેસિડેન્ટ રહે છે, એમની પણ રાજ્યમાં સારી સત્તા છે. મહારાજાના બીજા ભાઈ રામસિંહજી જે અમરસિંહ કરતાં મોટા છે તે સેનાધિપતિ છે. પોતાના લશ્કરી કામ સિવાય બીજા કોઈ કામમાં વચ્ચે પડતા નથી.

    ⁠કાશ્મીરમાં દરેક માણસ પારસીના ગોર (દસ્તુર) જેવી સફેદ પાઘડી બાંધે છે. વિવાહ પ્રસંગમાં પણ આ રંગ બદલાતો નથી. વરલાડ્‌ડો પણ તે જ રંગની અને તેવીજ પાઘડી બાંધે છે. સાધારણ માણસો સુરવાલ પહેરે છે. શરીર પર બદન અને તેના પર એક લાંબો, પગની ઘૂંટી સુધી નીચે લટકતો જભ્ભો પહેરે છે. આ ઝભ્ભાની બ્હાં ઘણી લાંબી અને પકતી હોય છે, તેથી હાથ બીલકુલ બહાર દેખાતા નથી. કામ કરવું હોય ત્યારે બ્હાંને ઉંચીને ઊંચી ચડાવી બેવડી કરી લે છે. કેટલાએક પંડિતો સુરવાલ પહેરે છે અને ઘણા માત્ર લંગોટી જ રાખે છે, કેમકે ઝભ્ભો ઘણોજ લાંબો હોય છે. હવે કેટલીક જગ્યાએ કોટ–પાટલૂન પણ નજરે પડે છે. સ્ત્રીઓ પુરુષ જેવાં જ કપડાં પહેરે છે, પણ માથે એક સફેદ વહોરાના જેવી ટોપી ઘાલે છે. આ અતિશય બેડોળ લાગે છે. ઘરેણાં બહુ જ થોડાં રાખે છે.

    ⁠શ્રીનગરની હવા વિલાયતના જેવી છે. કેટલાકનું મત એવું છે કે મદિરાપાન કાશ્મીરમાં ન કરે તો માણસને હરકત થાય, અને માણસ હંમેશા નાહી શકે નહિ. આમ કહેનારા દારૂના શોખી, આળસુ કે અજાણ્યા જ હોવા જોઈએ. વિલાયતમાં તેમજ કાશ્મીરમાં એવાં માણસો ઘણાં છે કે જે મદિરાનો સ્પર્શ પણ કદી કરતા નથી. અમે હમેશાં નિયમસર કાશ્મીરમાં વગર હરકતે નાહી શકતા, મદિરા પીવાની કોઈ પણ વખતે કોઈને જરૂર પડી નહોતી અને આનંદથી બહાર હરીફરી શકતા હતા.

    ⁠કાશ્મીરમાં મુસાફરી કરનારા માણસને કઈ કઈ બાબતની જરૂર પડે છે તે અમે પૂરૂં જાણી શક્યા નથી, કારણ કે અમે કાશ્મીરનો ઘણો જ થોડો ભાગ જોઈ શક્યા હતા : તોપણ અમને નીચેની વસ્તુઓની ઘણી જરૂર પડી હતી :-

    ૧—ગરમ કપડાં, ઓઢવાને શાલો અથવા બંડુસ.
    ૨—સંકેલાય તેવા પલંગો અને નાનાં પાતળાં ગાદલાં
    ૩—પાયખાનાનો તંબુ. જે માણસ હૉટલ અથવા ડૉક બંગલામાં ન ખાઇ શક્તો હોય તેણે એક બીજો રસોડાનો તંબુ પણ રાખવો જોઈએ. એક બે દિવસનું સીધું પણ સાથે જ રાખવાની જરૂર છે. દરેક મુકામે મજાના ડૉક બંગલા છે. તેમાં હૉટલની માફક જ જમવાની અને રહેવાની સારી સોઈ છે. જ્યાંથી જેલમ નદી પર કિસ્તીમાં મુસાફરી કરવી પડે છે ત્યાંથી સીધું સાથે રાખવાની ઘણી જ જરૂર છે. માંજીલોકો ઘણાજ સારા માણસો છે. નોકર કરતાં પણ વિશેષ આજ્ઞાંકિત છે. વળી ભલા અને હાથના ચોખ્ખા છે. આ લોકો મુસલમાન છે, અને રાંધી પણ આપે છે. જેને મુસલમાનના હાથે રાંધેલું ન ખપતું હોય તેણે રસોઇઆ સાથે રાખવા જોઈએ.
    ૪—કાશ્મીરમાં અમે ભેંશો ક્યાંય જોઈ નહિ. દૂધ ગાયોનું મળે છે. ઘી અને માખણ આળા ચામડામાં ભરી રાખે છે તેથી ઘણાં જ ખરાબ, કડવાં અને દુર્ગંધી હોય છે. અમને ઘી અને માખણ વિના ઘણી અડચણ પડી હતી. કાશ્મીરમાં દરેક દરેક મુસાફરે આ બે ચીજો હમેશાં સાથે રાખવી.

     

    ⁠રાવળપીંડીથી બારામુલ્લાં સુધી ટાંગા ભાડે મળી શકે છે. આ ઉત્તમ વાહન છે, તે અમને મળી શક્યું નહિ, કારણ કે વાયસરૉયને માટે બધા ટાંગા રાખેલાં હતા. અમે ફેટન ગાડીમાં બારમુલ્લાં સુધી ગયા. સામાન અને માણસોને માટે એકા ભાડે કર્યા હતા, આ એકાનાં ટટ્ટુ ઘણાંજ ખરાબ હોય છે; એકા નાના અને ખળભળી ગયેલ હોય છે, અને હાંકનાર બેદરકાર હોય છે. જો સામાન પંદર અથવા સોળ દિવસ અગાડીથી ચડાવી શકાય તેમ હોય તો ગાડાં અથવા કરાંચીઓ પણ મળે છે. આ કરાંચીના બળદોને રાશ હોતી નથી, પણ હાંકનાર લાકડીથી બળદને ડાબી જમણી તરફ વાળે છે. પર્વત પરના આડાઅવળા અને સાંકડા રસ્તામાં આ ભયંકર છે.

    ⁠કાશ્મીરમાં જવાનો ખરો વખત વસંત જ છે. એ ઋતુમાં હિમાલયમાંથી ઊતરતી, પછડાતી, ઉછળતી નદીઓ ઘણા જ જોસથી વહે છે. પર્વતો ઝરણથી છલકાતા દેખાય છે. ડુંગરો અને ખીણોપર વનસ્પતિના ગાલીચા પથરાઈ ગયેલા હોય છે. વળી ટાઢ પણ ઓછી હોય છે. જે ઋતુમાં અમે કાશ્મીરમાં ગયા તેમાં ફળફ્‌લાદિ ઊલી ગયાં હતાં, અને ઠંડી પણ સખત હતી. વાઈસરૉય તે જ વખતે કાશ્મીર હતા તેથી અમારા ધારવા પ્રમાણે અમે જઈ શક્યા નહિ. રાવળપીંડીમાં અમારે લગભગ બાર દિવસ પડ્યું રહેવું પડ્યું. અમારે આખો હિન્દુસ્તાન છ માસમાં જોવાનો હતો અને કાશ્મીરમાં ઘણી ટાઢ હોવાને લીધે અમને વધારે રોકાવું અને વધારે જોવું પરવડ્યું નહિ. આમ થવાથી અમે નાગાપર્વત, માનસબલ, માર્તંડ, અવંતિપુરનાં મંદિરો, અનંગનાથ, ઇસ્લામાબાદ અને પૃથ્વીના સ્વર્ગ જેવા કાશ્મીર દેશના એવાજ બીજા અતિ રમણીય પ્રદેશો જોઈ શક્યા નહિ.

    ⁠કાશ્મીરની ખૂબસૂરતી અને મુસીબતો વિષે અમે જેવું વાંચ્યું હતું અને તેથી અમારા મનમાં જેવી કલ્પના હતી તેવું અમે અનુભવ્યું નહિ, તોપણ એ દેશ સ્વર્ગનું પ્રતિબિંબ છે અને ત્યાં જવું કઠિન અને જરા જોખમ ભરેલું છે તેમાં તો કાંઈ શક જ નથી. અલબત મુસીબત વિના સ્વર્ગનાં દર્શન ક્યાંથી થાય ?[]ખૂબસુરતી ઓછી લાગી તેનું કારણ એટલું જ હશે કે અમે ગયા તે સારી ઋતુ નહોતી. અમે બહુ જ થોડું જોયું અને જે કાંઈ જોયું તે પણ ઉતાવળથી. મુસીબત ઓછી પડી તેનું કારણ એ જ કે વાઈસરૉયને લીધે રસ્તા ઘણી સારી સ્થિતિમાં હતા. વળી જે સડક પર અમે ચાલ્યા હતા તે નવી બાંધેલી હતી. અમે કેટલાક દેખાવો એવા જોયા કે જે કલ્પનામાં અગાડી નહોતા, અને મુસીબતો પણ એટલી ભોગવવી પડી કે જેથી બે ત્રણ જીવની હાનિ થાત. ગમે તેમ હોય તોપણ મને તો એમજ લાગ્યું કે, કોઈ પણ સારી અથવા ખરાબ બાબતનો, ભોક્તા થયા પહેલાં જે વિચાર હોય છે તેમાં ભોક્તા થયા પછી ઘણો જ ઘટાડો થાય છે.+ અહીંની ભાષા જુદી જ છે. હિંદુસ્તાની ભાષા ઘણા માણસો સમજી શકે છે. રાજ્યનું દફતર ફારસી ભાષામાં રાખવામાં આવે છે.


    1.  * એ વાક્ય વાંચી મને બંગાલી બાઈ શ્રી તોરૂદત્તે આવો જ વિચાર, પેાતે લખેલી ‘The Royal Ascetic and the Hind’ એટલે ‘રાજર્ષિ અને મૃગી’ નામની કવિતામાં બતાવેલ છે તે યાદ આવ્યો છે, તેમાંથી નીચેનો ફકરો આપણા અંગ્રેજી જાણનારા વાંચકોને માટે દાખલ કરું છું :

      “Not in seclusion, not apart from all,
      Not in a place elected for its peace,
      But in the heat and bustle of the world,
      ‘Mid sorrow, sickness, suffering and sin
      Must he still labour with a loving soul
      Who strives to enter thro’ the narrow gate.”

      ⁠એ બંગાલી બાઈ આ દેશમાં પેદા થયેલાં સ્ત્રીરત્નોમાં પહેલો નંબર પામે એવાં વિલક્ષણ બુદ્ધિવાળાં હતાં. અમારા દુર્ભાગ્યે એ પૂરાં વીશ વર્ષ જીવવા પામ્યાં નહિ, તોપણ આટલી નાની ઉંમરમાં બંગાલી, સંસ્કૃત વગેરે દેશી ભાષામાં તેમ જ અંગ્રેજી ભાષામાં ‘Sheaf gleaned from French Field’ વગેરે જેવા પંડિતમાન્ય, સરસ અને માર્મિક મોટા ગ્રંથો તેણે લખેલા છે.

  • એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૧૩ મું – સુધારાની માયાજાળ, અને છેલ્લી તૈયારી

    પ્રકરણ ૧૨ મું – ભીષણ સૌંદર્ય થી આગળ

    ઝવેરચંદ મેઘાણી

    સુલેહની સભામાં બેસીને જ્યારે જાપાન દુર્બળ પ્રજાઓના બચાવમાં ગર્જના કરતું હતું, ત્યારે એની પોતાની છાતી થડક થડક થતી હતી. એણે જોયું કે નિર્દોષ શોણિતનો આર્તનાદ દિગ્ દિગન્તરો વીંધીને ચોમેર પહોંચ્યો છે. એના કાળજામાં અવાજ ઉઠ્યો કે શું જવાબ આપવો ?

    અંતરનો સેતાન બોલી ઉઠ્યો કે “સુધારા, સુધારા.”

    ટોક્યોની સરકારે ઢંઢેરો લખીને અમેરિકા મોકલ્યો. વર્તમાનપત્રોએ એ ઢંઢેરો છાપી નાખ્યો. ઢંઢેરામાં જાપાને કોલ દીધેલો હતો કે “કોરીયાની અમારી વ્હાલી પ્રજાને અમે સમાનભાવે સુખી અને સલામત રાખીશું, પગલે પગલે સ્વરાજ્ય બક્ષીશું, લશ્કરી રાજ્યતંત્રને બદલે સીવીલ રાજ્યવ્યવસ્થા સ્થાપીશું, ગ્રામ્ય સ્વરાજ્ય, અને શહેર સુધરાઈખાતું પ્રજાની ચુંટણીના ધોરણ પર ચલાવીશું, ઇન્સાફના તખ્ત સામે જાપાની કે કોરીયન ઉભયનો એક કાયદે ન્યાય કરીશું.” ઢંઢેરો વાંચી વાંચીને પરદેશીઓ પોતાના પોકારને સફળ થયેલો સમજી બેઠા.

    કાળાં કામ કરનારા બે જુના હાકેમોનાં રાજીનામાં મંજુર થયાં. મંજુરીના કાગળમાં જાપાની સચીવ શું લખે છે ? “વર્ષો સુધી ઉજ્જવળ સેવા બજાવનારા આ બે લાયક અધિકારીઓનું રાજીનામુ સ્વીકારતાં મને દુઃખ થાય છે !”

    લશ્કરી રાજ્યનો પલ્ટો આરંભાય છે. એક હાથે જાપાની સચીવ અમેરિકાને કોરીયા પરત્વેની પોતાની મમતાના ખાત્રી પત્રો મોકલે છે, અને બીજે હાથે, કતલ ચલાવવા કોરીયાને કિનારે છ હજાર સૈનિકોનો કાફલો પહોંચાડે છે. ‘સુધારા’નો સંદેશો સંભળાવીને તત્કાળ કોરીયાની છાતી ઉપર ત્રણ હજાર વધુ પોલીસો, અને બસો વધુ અમલદારો બંદુકો લઈને ચડી બેસે છે. અત્યાચાર કરનારો જુનો એક પણ અમલદાર કશી શિક્ષા નથી પામતો.

    અત્યાર સુધી માત્ર ઇસારે કામ ચાલતું, હવે ‘સુધારા’ જાહેર થયા, એટલે લિખિત હુકમોથી પોલીસને ગોળી ચલાવવાની છૂટ મળી. ઉત્સવોની અંદર પ્રજાને સંગીત કરવાનો પ્રતિબંધ, અને પાંચ પાંચ કુટુંબોના મસ્તક પર અક્કેક અમલદારની (નીમણુક) મલ્લકુસ્તીની મનાઇ, ઉજાણીની મનાઈ, પૂર્ણિમાના ઉત્સવોની મનાઈ, અને એ મનાઈના ઉલ્લંઘનની પાધરી શિક્ષા — આંખો મીંચીને ગોળીઓ છોડવાની.

    ઇન્સાફની પ્રથામાં પણ એજ તરેહના સુધારા ! બંદીવાનને કેવળ એકજ પ્રશ્ન પૂછાય. “ફરીવાર કદી પોકારીશ કે ‘અમર રહો મા’ ?” હકારમાં ઉત્તર હોય તો કારાગૃહની અનંત અંધારી યાતનાઓ એની રાહ જોતી. અદાલતમાં આ સવાલનો ઉત્તર એક કુમારિકાએ દીધેલો કે, “છૂટીશ તો ૫હેલી જ તકે હું મારી માતાનું નામ પોકારવાની.” બસ ! કારાગૃહનો ઘોર અંધકાર એ સુકુમાર બાળાના આશામય સંસાર ઉપર ફરી વળ્યો.

    વધુ કર્પીણ રીબામણી, વધુ પિશાચી રક્તપાત, વધુ ને વધુ દમન આરંભાયાં—અને તે બધું, સુલેહ શાંતિને નામે, નિર્દોષ અને શાંત પ્રજાજનોની સહીસલામતીને નામે !

    સુધારાની ઈંદ્રજાળથી આખી દુનિયા ઠગાણી છે, પણ કોરીયા નથી ઠગાયું. જાપાન કોરીયાના અંતરને ઓળખી નથી શક્યું.

    પ્રત્યેક કોરીયાવાસીના પ્રાણમાં આજે ભીષણ કટુતા વ્યાપી રહી છે, અને એ ઝેર જમાનામાં જતાં યે નથી નીકળવાનું. હવે કોરીયા વિચાર નથી કરતું, બુધ્ધિપૂર્વક સમજીને ધિઃક્કાર નથી દેતું, એ ધિઃક્કાર તો એના લોહીના પ્રત્યેક બિન્દુમાં પ્રવેશી ચુક્યો છે, સુધારાનાં છળ કોરીયાના ઝખ્મો નહિ રૂઝાવી શકે. એનું ખૂન પોકારી ઉઠે છે કે “ચાલ્યા જાઓ અમારી ભૂમિ પરથી.” બસ ! એથી કમતી કે વિશેષ કશું યે નહિ.

    કોરીયા અત્યારે સ્વાતંત્ર્યને લાયક છે કે નહિ, આંતરરાષ્ટ્રીય સંબંધોની દૃષ્ટિએ જોતાં જાપાન અત્યારે કોરીયાને મુક્ત કરી શકે કે નહિ,—એ સવાલો વિચારવાની કોરીયા ના પાડે છે. હવે તો એ સવાલ સમજણનો નથી, દારૂણ દર્દનો છે, ઉંડા ધિઃક્કારનો છે, સેંકડો વર્ષોના કારી ઝખ્મોનો છે. કોરીયાનું સંતાન ખીજ નથી બતાવતું, આંખો રાતી નથી કરતું, બહુ ઓછું બોલે છે, પણ એના હૈયાની જ્વાળા ચુપચાપ ભડભડી રહી છે.

    પણ વિસરશો નહિ, ભ્રાંતિમાં પડશો નહિ, કે ક્રોધાંધ બનીને કોરીયા ભાન ભૂલ્યું છે. ના, ના. દુનિયાની નજરે કોરીયા પાગલ બનીને ચુપચાપ પડેલું દેખાય છે. પણ એ દેશના ઉંડાણમાં વ્યવસ્થિત, વિધવિધ ચળવળ ચાલી રહી છે. શાંગાઈ શહેરની અંદર કોરીયાની કામચલાઉ રાષ્ટ્રીય–સરકાર (Provisoinal Government) ની હમણાં જ બેઠક મળેલી, એ કેવળ નાટકીય તમાશો નહોતો. જાપાનને માલૂમ છે કે દેશભરની અંદર એ દેશી રાજ્યતંત્ર ચુપચાપ ગોઠવાઈ ગયું છે, ને રાજ્ય ચલાવી રહ્યું છે. પણ, એની કચેરીઓ ક્યાં ક્યાં છે, એના અધિકારીઓ કોણ છે, એનાં સાધનો ક્યાંથી ચાલ્યાં આવે છે, તેનું ભાન જાપાની જાસુસોને જરા યે નથી. બીજી ભયાનક બીના પણ જાપાની સરકાર જાણે છે. કે પોતાના જ જાસુસો એ ગુપ્ત રાજ્યતંત્રને મદદ કરી રહ્યા છે. પણ જાપાની સરકાર કોઈ સાચા અપરાધીને નથી શોધી શકી. સેંકડો શકદારો પકડાય છે, દારૂણ સજા પામે છે, પણ પેલું ગુપ્ત રાજ્યતંત્ર પ્રતિદિન પ્રબલ બનતું જાય છે. જાપાન ડાચું વકાસીને જોઈ રહે છે. એ ગુપ્ત કોરીયન સરકાર શાંગાઈ, ઈંગ્લાંડ અને અમેરિકા સાથે પત્રવ્યવહાર ચલાવે છે, નાણાં મેળવે છે. ને મોકલે છે. “સ્વતંત્રતા સમાચાર” ની હજારો નકલો છુપી છપાઈને ઘેર ઘેર પહોંચે છે. હજારો કાસદો પકડાય છે, તો યે એ દેવ–સેનાનું દળ ખૂટતું નથી. બાલકો શાળાની અંદર શિક્ષકોની સામે સર્ટીફીકેટો ચીરી નાખે, પુરૂષો “અમર રહો મા” પોકારે, સોલ્જરો મુંઝાઈને સ્તબ્ધ બને છે, કારણ કતલની કે મારપીટની કશી અસર નથી.

    ત્યારે હવે ?

    જાપાન મુંઝાયું છે. માર્ગ સૂઝતો નથી, પિસ્તોલો લાઈલાજ બની છે. એની સન્મુખ બે જ રસ્તા ખુલ્લા છે. કાં તો દેશ છોડી ચાલ્યા જવું, નહિ તો બે કરોડ કોરીયાવાસીઓને, ચુકતે હિસાબે રેંસી નાખવા, એ પ્રજાનું અસ્તિત્વ આ ખલ્કની અંદરથી ઉખેડી નાખવું. ત્રીજો માર્ગ નથી, કારણ, કોરીયાએ આખરની તૈયારી કરી મેલી છે, મોતની પથારી બિછાવી રાખી છે, એકે એક પ્રજાજન—એકે એક—પોતાના પ્રાણ બે હાથમાં ધરીને ઉભો છે. એ બીજા કાંઇ સમજતો નથી. પિતૃભુમિનો પ્રાણ એ પ્રત્યેકને સ્મશાનમાંથી સાદ કરી રહ્યો છે. પ્રકાશની એને પરવા નથી. અંધકારના–મૃત્યુના–અમર ભુવનમાં દાખલ થવા એ તલસે છે. હવે તો એ બીજા કોઈ દયાળુને વ્હારે ધાવા કાલાવાલા કરતો નથી. સાગરને સામે પારથી આશાના સંદેશા નહિ, પણ મૃત્યુના ઘુઘવાટા એ કિનારે બેઠો બેઠો સાંભળે છે, હજારો વીર વીરાંગનાનાં વૃંદ આકાશની અંદર ચાલ્યા જતાં એ નિહાળે છે. એ હસે છે, પ્રેતની પેઠે હસે છે, અમર દુનિયાનાં એ દર્શન કરે છે, અને પળે પળે પાકારે છે. “અમર રહો મા કોરીયા !”

    ફાંસીની સજામાંથી બચી આવેલા ડો. સીંગમાન રી. કોરીયન પ્રજાસત્તાકનો એક મતે ચુંટાયેલો પ્રમુખ. [પા.૨૯]
    શાંગાઇ નગરમાં સ્થપાએલું કામચલાઉ કોરીયન પ્રજાસત્તાક રાજ્ય મંડળ એ કંઈ નાટકીય તમાસો નહોતો. [પા. ૧૦૨]

    ત્યારે હવે જાપાને શું ધાર્યું ?

    નકશા પર નજર કરો. નકશો એનો ઉત્તર દેશે. કોરીયાને કિનારેથી જાપાની તોપો ખસે કે બીજી જ પ્રભાતે જાપાનનો બીજો કોઈ દુશ્મન પોતાની તોપો ત્યાં માંડશે, ને જાપાન ઉપર ગોળા છોડશે, એવી જાપાનને ધાસ્તી છે. પરંતુ એથી યે ઉંડાણમાં પેલી મહદ્ જાપાન બનવાની મુરાદ, કોરીયાની ગુલામીનું સબળ કારણ છે. કોરીયાની અંદર દારૂગોળો અને સેના જમાવી એક દિવસ ચીનનો કબ્જો લેવો, પછી એશિયાના બીજા પ્રદેશો પર પાંખો પસારવી, સામ્રાજ્ય સ્થાપવું, અને આખરે પાસીફીક મહાસાગરની માલીકી માટે મથવું. કદી નહિ છોડે–કોરીયાને જાપાન રાજીખુશીથી કદી નહિ છોડે.

    ત્યારે હવે ? તું શું જવાબ વાળીશ, અયિ બંદિની કોરીયા ? તારી ગરદન તૈયાર છે ને ? ભ્રમણામાં નથી પડવાની કે ? ચિતા ખડકી રાખી છે કે ? ચીસો નહિ પાડેને ? ત્હારાં સંતાનોને જીવતાં સળગાવી દેજે. પણ જોજે હો ! આંખોમાં આંસુ ન આવી જાય. કંઠમાં આક્રંદ ન ઉઠે, હૈયામાં કરૂણા ન ઉભરાય ! અમર રહો, મા કોરીયા.

    સમાપ્ત.

    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • તું ભરતી ને હું ઓટ | કાગળ છું

    (૧) તું ભરતી ને હું ઓટ – મુકેશ જોશી

     તું ભરતી ને હું ઓટ
    મને ગમે ભીતર વળવું તું બહાર મૂકે છે દોટ.

     આલિંગનનો લઇ હરખ તું ઠેઠ કિનારે જાય
    મારી બુમે લહેરો પાછી ઘરમાં આવી ન્હાય 
    તું ઉછળે તો લાગે જાણે ઊર્મિનો વરઘોડો
    મારે કારણ ઉદાસીઓને મળે આશરો થોડો
    જળના ઘરમાં રહીએ ક્યાં છે ઝળઝળિયાંની ખોટ .. તું ભરતી ને હું ઓટ

    શીત ચાંદની નર્તન કરતી કેવળ તારા રાગે
    મારે કારણ દરિયા જેવો દરિયો માંદો લાગે
    તારી પાસે જોશ જવાની જાદુ જલસા મંતર
    મારી પાસે જોવા જેવું કેવળ મારું અંતર.
    મારે મંદી તારા ભાયગમાં પણ કાળી ચોટ .. તું ભરતી ને હું ઓટ


    (૨) કાગળ છું – ભગવતીકુમાર શર્મા 

    વાંચીને હવે તું શું કરશે ? ચૂંથાઈ. ગયેલો કાગળ છું;
    વંચાયો હતો ક્યારેક; હવે વિસરાઈ ગયેલો કાગળ છું;

    શંકા ન પડે તે માટે હું ચીરાઈ ગયેલો કાગળ છું;
    છાતીમાં વસેલો છું તોયે ખોવાઈ ગયેલો કાગળ છું.

    ઝાકળની સાથે સ્પર્ધામાં હર રાત ટપકતાં આંસુઓ;
    ખુશ્બૂ તો ગઈ ઊડી; હું હવે ચેહરાઈ ગયેલો કાગળ છું.

    આ રણની સફર એકલવાયા કરવાનું બહુ કપરું નીવડ્યું;
    મૃગજળનો ભરોસો રાખીને ભીંજાઈ ગયેલો કાગળ છું.

    અક્ષર તૂટ્યા, શબ્દો રૂઠ્યા, કાના-માતરથી વૈર પડ્યું;
    ખૂણે ખૂણેથી ફાટીને વિખરાઈ ગયેલો કાગળ છું.

    પારેવાની પાંખેય નહીં; પંખી કેરી ચાંચેય નહીં,
    આંસુભીની આંખેય નહીં; ફેંકાઈ ગયેલો કાગળ છું.

    કાસદ જેવો કાસદ પણ જો ખૂટલ નીવડે તો શું કરવું ?
    ખોટે સરનામે પહોંચીને મૂંઝાઈ ગયેલો કાગળ છું.

  • બિન બાદલ બરસાત (૧૯૬૩)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    હેમંતકુમારનું નામ પડે એટલે ધીરગંભીર, ઘેરો, અને અત્યંત મધુર સ્વર કાનમાં ગૂંજવા લાગે. ગાયક તરીકે તેમણે ગાયેલાં એકે એક ગીતો મધુરતાની ચરમસીમાએ લઈ જતાં લાગે. રીતસર ભાવસમાધિ લગાડે એવાં. તો સંગીતકાર તરીકે તેમણે સંગીતબદ્ધ કરેલાં ગીતોમાં શાંતરસ પ્રધાન. ગીતકાર શકીલ બદાયૂંની સાથે તેમણે ત્રણેક ફિલ્મો કરી હોવાનું ધ્યાનમાં છે. એ પૈકીની બે ‘બીસ સાલ બાદ’ અને ‘સાહિબ, બીવી ઔર ગુલામ’, અને ત્રીજી ફિલ્મ એટલે ‘બિન બાદલ બરસાત’.

    અગાઉની બન્ને ફિલ્મોનું સંગીત યાદગાર બની રહ્યું, તો ‘બિન બાદલ બરસાત’નાં ગીતો પણ લોકપ્રિય થયેલાં. એમાંય હેમંતકુમારના સ્વરે ગવાયેલાં બન્ને ગીતોમાં એમના સ્વરનો જાદુ આજેય અનુભવી શકાય છે.

    ‘ઉત્તમ ચિત્ર’ નિર્મિત, જ્યોતિ સ્વરૂપ દિગ્દર્શીત ‘બિન બાદલ બરસાત’ની રજૂઆત ૧૯૬૩માં થઈ હતી. આશા પારેખ, બિશ્વજીત, નીશી, મહેમૂદ વગેરે કલાકારોની તેમાં મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મનાં કુલ નવ ગીતો હતાં, જે શકીલ બદાયૂંનીએ લખેલાં, અને સંગીતકાર હતા હેમંતકુમાર. આ ગીતો પૈકીનાં બે ગીતો ‘જબ જાગ ઉઠે અરમાન તો કૈસે નીંદ આયે’ અને ‘જિંદગી કિતની ખૂબસૂરત હૈ’ હેમંતકુમારના સ્વરે ગવાયેલાં સદાબહાર એકલગીત હતાં, તો ‘એક બાર જરા ફિર કહ દો, મુઝે શરમા કે તુમ દિવાના’ હેમંતકુમાર અને લતાનું યુગલગીત હતું. આ ઉપરાંત મહમ્મદ રફીનું એકલગીત ‘મરીઝે ઈશ્ક હૂં એ જાનેમન મેરી દુઆ કરના’ તેમજ લતાનાં એકલગીત ‘રાત ખામોશી સે આતી હૈ, જાતી હૈ’, ‘દિલ મેં તેરી યાદ સનમ’નો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં બે ગીતો બબ્બે વખત અલગ અલગ ગાયક/ગાયિકાના સ્વરમાં છે. એ પૈકીનું એક ‘જિંદગી કિતની ખૂબસૂરત હૈ’ હેમંતકુમાર ઉપરાંત લતાનું ગાયેલું એકલગીત છે, પણ ક્યાં હેમંતકુમારનું ગાયેલું ગીત અને ક્યાં લતાનું ગાયેલું! કદાચ સ્વતંત્રપણે લતાએ ગાયું હોત તો એ સુંદર જ લાગત, પણ હેમંતકુમારના સ્વરે સાંભળ્યા પછી બીજા કોઈના સ્વરમાં એ ગીત કાનમાં પ્રવેશી શકે નહીં. એ જ રીતે ‘બિન બાદલ બરસાત ન હોગી’ પણ લતા અને આશાના એમ બન્નેના સ્વરે ગવાયેલું એકલગીત છે.

    આ પૈકીનું લતા મંગેશકરના સ્વરે ગવાયેલા ગીતનો ઉપયોગ ટાઈટલ સોન્‍ગ તરીકે કરવામાં આવ્યો છે, જેના શબ્દો આ મુજબ છે.

    बिन बादल बरसात न होगी…
    बिन बादल बरसात न होगी

    ओ नादानों, ओ दीवानों
    सुन लो हमारी बात
    जालिम दुनियावालों
    यूं ना जादू डालो
    अपने होश संभालो
    देखो जी होशियार
    दिल से हमारे टकराये तो,
    खाओगे खुद ही मार
    बिन बादल बरसात न होगी

    ओ नादानों, ओ दीवानों
    सुन लो हमारी बात

    ટાઈટલ ગીત અહીં સમાપ્ત થાય છે. ગીતનો આટલો ભાગ નીચેની લીન્‍ક પર સાંભળી શકાશે.

    ફિલ્મમાં વચ્ચે આવતું આ જ ગીત આશા ભોંસલેના સ્વરમાં છે. આ ગીતનો લય અને સંગીત ટાઈટલ ગીતની જેમ જ ઝડપી છે, છતાં આશા ભોંસલે દર્દભર્યા સ્વરે એ ગાયેલું છે.

    આ ગીતના શબ્દો આ મુજબ છે, જે તેનો ઉદાસ ભાવ સૂચવે છે.

    बिन बादल बरसात न होगी
    ओ नादानों, ओ दीवानों
    सुन लो हमारी बात
    बिन बादल बरसात न होगी

    ओ नादानों, ओ दीवानों
    सुन लो हमारी बात
    खुशियों पर ना फूलो
    गम को तुम न भूलो
    किरणों में ना झूलो,
    झूठी है बहार
    दुनिया है ये दुनिया इसमें
    गम है खुशी के साथ
    बिन बादल बरसात न होगी

    ओ नादानों ओ दीवानो
    सुन लो हमारी बात
    मुस्काओ ना मन में
    डुबोगे उलझन में
    दुख भी है जीवन में
    खुशियां है बेकार
    दिन बीता तो नागिन बनके
    आयेगी काली रात
    बिन बादल बरसात ना होगी

    ओ नादानों ओ दीवानो
    सुन लो हमारी बात
    सपना है फिर सपना
    छोड़ो ये रंग अपना
    उम्मीदें ना रखना
    होगी इसमें हार
    बीच डगर पे लुट जाएगी
    सपनों की बारात
    बिन बादल बरसात न होगी

    ओ नादानों ओ दीवानो
    सुन लो हमारी बात
    बिन बादल बरसात न होगी
    ओ नादानों ओ दीवानो
    सुन लो हमारी बात

    ગીતનો આ ભાગ નીચેની લીન્‍ક પર સાંભળી શકાશે.


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    ૬૦ ફિલ્મોનાં ટાઈટલ ગીતો આવરી લેતી આ શ્રેણી હાલ પુરતી અહીં પુરી થાય છે.
    હવે પછી નવા વિષય પર ની ફિલ્મી ગીતોની શ્રેણી શરૂ કરીશું.

    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • એક કલાકાર : ગાયકો એકથી વધુ [૮] : કિશોરકુમાર

    નિરંજન મહેતા

    કિશોરકુમાર, એક અદ્વિતીય કલાકાર. ન કેવળ ગાયક પણ ગીતકાર, નિર્માતા. નિર્દેશક અને એક અદાકાર પણ. સ્વાભાવિક છે કે જે ફિલ્મોમાં તેમણે અદાકારી કરી હોય તે ફિલ્મમાં તેમના પર રચાયેલ ગીતો તેમણે ખુદ ગાયા હોય. પણ આ હકીકતમાં પણ અપવાદ છે અને તેવા ગીતો આ લેખમાં પ્રસ્તુત છે.

    સૌ પ્રથમ છે ૧૯૫૪ની ફિલ્મ ‘નૌકરી’ ફિલ્મનું નીચેનું ગીત જે એકદમ પ્રખ્યાત છે.

    छोटा सा घर होगा बादलों की छाँव में
    आशा दीवानी मन में बंसुरी बजाये
    हम ही हम चमकेंगे तारो के उस गाँव में
    आँखों की रौशनी हर दम ये समझाये

    કિશોરકુમાર સાથે છે શિલા રામાની.

    આ જ ગીત એક પાર્શ્વગીત તરીકે આવે છે જે હેમંતકુમારના સ્વરમાં છે.

    બંને ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે સલીલ ચૌધરીએ.

    ૧૯૫૬ની ફિલ્મ ‘ભાગમભાગ’ એક રમુજી ફિલ્મ છે જેનું આ ગીત એક નોકઝોક પ્રકારનું ગીત છે.

    है हमें कोई ग़म है
    तुम्हे कोई ग़म है
    मोहब्बत कर जरा नहीं
    दर किसे कल की खबर

    ગીતમાં કિશોરકુમાર સાથે છે શશીકલા. અન્ય કલાકાર છે ભગવાનદાદા. ગાયકો છે રફીસાહેબ આશા ભોસલે.

    આ ફિલ્મનું અન્ય ગીત છે જે એક પાર્ટી ગીત છે

    ए बाबू ये है ज़माना तेरा
    हे बाबू गा ले तू ख़ुशी का राग दुनिया है भागम भाग
    ए बाबू ये है ज़माना तेरा
    हे बाबू गा ले तू ख़ुशी का राग दुनिया है भागम भाग
    ए बाबू ये है ज़माना तेरा

    ગીતના કલાકરો છે કિશોરકુમાર અને ભગવાનદાદા જેમને સ્વર આપ્યો છે રફીસાહેબ અને કિશોરકુમારે.

    બંને ગીતોના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે ઓ.પી.નય્યરનું.

    ૧૯૫૮ની ફિલ્મ ‘રાગીની’નું ગીત જે ધિક્કાર દર્શાવતું ગીત છે તે કિશોરકુમારનાં સ્વરમાં છે. નશામાં ધૂત કિશોરકુમાર એક નાટ્યગૃહમાં પ્રવેશે ત્યારે આ ગીત ગવાયું છે.

    मुझको बार बार
    मुझको बार बार याद न आ
    बेवफा ओ बेवफा
    मुझको बार बार याद न आ

    સાથે છે પદ્મિની.

    અન્ય ગીત છે જે કિશોરકુમારની વ્યથાને દર્શાવે છે.

    मन मोरा बावरा
    निष् दिन गाये गीत मिलन के
    निष् दिन गाये गीत मिलन के
    मन मोरा बावरा

    આ ગીત માટે કિશોરકુમારને સ્વર આપ્યો છે રફીસાહેબે.

    બંને ગીતના શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત છે ઓ.પી. નય્યરનું.

    ૧૯૫૯ની ફિલ્મ ‘શરારત’નું ગીત છે જે રસ્તા પર ગવાયું છે

    हम मतवाले नौजवान
    मंजिलो के उजाले
    लोग करे बदनामी
    कैसे ये दुनिया वाले
    करे भले हम
    बुरे बने हर दम

    સ્વર છે કિશોરકુમાર

    બીજું ગીત એક ફિલસુફીભર્યું ગીત છે.

    अजब है दास्ताँ तेरी ऐ ज़िन्दगी
    कभी हँसा दिया रूला दिया कभी
    अजब है दास्ताँ तेरी ऐ ज़िन्दगी
    कभी हँसा दिया रूला दिया कभी

    પથારીવશ મીનાકુમારીને ઉદ્દેશીને કિશોરકુમાર પર આ ગીત રચાયું છે પણ સ્વર છે રફીસાહેબનો.

    બંને ગીતના ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર છે શંકર જયકિસન

    ૧૯૬૦ની ફિલ્મ ‘બેવકૂફ’નું આ ગીત હેલનનું નૃત્યગીત છે જેમાં કિશોરકુમારનો સાથ છે પણ સ્વર છે મન્નાડેનો. સાથે છે આશા ભોસલેનો સ્વર.

    धड़का दिल धक् से देखा है जबसे
    मर गए हम तबसे तौबा तौबा हो

    तौबा तौबा

     

    અન્ય ગીત એક રમુજી ગીત છે

    माइकल है तो साइकिल है
    माइकल जो नहीं साइकिल भी नहीं
    अरे माइकल है तो साइकिल है
    माइकल जो नहीं साइकिल भी नहीं

     

    दिल है तो दिलदार भी है
    दिलदार नहीं तो दिल भी नहीं
    दिल है तो दिलदार भी है
    दिलदार नहीं तो दिल भी नहीं

    કિશોરકુમાર અને અન્ય કલાકાર પર આ ગીત રચાયું છે જેને સ્વર આપ્યો છે કિશોરકુમાર અને આશા ભોસલેએ.

    બંને ગીતના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે સચિન દેવ બર્મન.

     

    બને તેટલુ સંશોધન કર્યા બાદ આટલા ગીતોની નોંધ મળી છે. આશા છે રસિકોને તે પસંદ પડશે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com