નમસ્કાર મિત્રો, “ગીતબિતાન”શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળ વધારતા, ચાલો એક નવીન પ્રકારની રચનાને જાણીએ અને માણીએ
આપણે જાણીએ છીએ તેમ ગુરુદેવ તેમની કલમ દ્વારા માનવીની ભીતર ની સંવેદનાઓને શબ્દોમાં તદરૂપે અક્ષરઃશ વણી લેતા. રબીન્દ્રસંગીત દ્વારા ગુરુદેવ માનવીને એક અરીસો ધરે છે – પોતાના મનને કોઈક અનોખી રચના દ્વારા મળવાનો, ઓળખવાનો. રબીન્દ્રસંગીતના ખજાનામાંથી માનવીની દરેકે દરેક મન:સ્થિતિ સાથે તાલ મિલાવતી એક રચનાતો તમને મળશે જ.
ગુરુદેવનું જેટલું સર્જન બાહ્ય જગતે માણ્યું છે તેટલુંજ અથવા તેનાથી વધુ ગુરુદેવે સ્વયં પોતાના અંતરને જાણ્યું છે. પોતાની ભીતરમાં રહેલા એ પરમ ચૈતન્ય, એ પ્રખર ઉજાસનું અહર્નિશ સાંનિધ્ય અને સામીપ્ય તેઓ સતત અનુભવતા. અને જયારે માનવીને ભીતરના ઉજાસની અનુભૂતિ થઇ જાય પછી એ ઉજાસના તેજને સથવારે તેનું સમગ્ર વિશ્વ પ્રકાશે પ્રજ્વલિત થઇ જાય. આવાજ ભાવ દર્શાવતી એક ખુબ સુંદર,પ્રતીકાત્મક અને પ્રચલિત રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. ૧૯૧૧માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે আলো আমার আলো ওগো | (Aalo Amar Aalo Ogo) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “અંતરનો ઉજાસ …”. જેનું સ્વરાંકન કવિવરે રાગ ઇમાનમાં કર્યું છે અને તેને દાદરા તાલ દ્વારા તાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું. આ રચનાને કવિવરે “બિચિત્રો” વિભાગ એટલે કે પ્રકીર્ણ વિભાગમાં વર્ગીકૃત કરી છે
અંતરનો ઉજાસ એટલે કે inner light – આ રચનામાં કવિવરે નિજ અંતરમાં રહેલા ઉજાસને શબ્દદેહ આપ્યો છે. જયારે ભીતરે ઝળહળતો પ્રકાશ હોય ત્યારે આજુબાજુ બધુજ ઝળહળી ઉઠે એ કવિવરે અલગ અલગ રૂપકો દ્વારા સમજાવ્યું છે. આ અંતરનો ઉજાસ એ નરી આંખે જોવાનો પ્રકાશ નથી પણ ભીતરની અનુભૂતિનો અહેસાસ છે. મારા, તમારા, સૌમાં એ પરમ ચૈતન્ય રહેલું છે જેની કૃપાથી આપણા શ્વાસની લયબદ્ધ ગતિ ચાલુ છે. પરમ ચૈતન્યનું અસ્તિત્વ આપણી ભીતરની જ્યોતને નિરંતર પ્રજ્વલિત રાખે છે અને એજ જ્યોત આપણને જીવનમાં સાચી દિશા પણ દેખાડે છે, એજ જ્યોત દ્વારા આપણે અન્યને પણ માર્ગ દેખાડવાનો હોય છે. પણ ઘણી વાર આપણા ખુદના લૌકિક આગ્રહો જેવાકે મોહ, ક્રોધ, ઈર્ષા આ જ્યોતને ગ્રહી લે છે અને અંતરનો ઉજાસ ક્ષીણ થઇ રહી જાય છે.શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહેલ છે
જે મનુષ્ય પોતાની ભીતરના ચૈતન્ય સાથે, અંતરના ઉજાસ સાથે એકાકાર થઇ હંમેશા નિજાનંદમાં મસ્ત રહે છે, તે યોગી સમાન મનુષ્ય મોક્ષના માર્ગ પર ગતિ કરી રહ્યા છે.
આ રચનામાં તો કવિવરે એથી અંતરના ઉજાસને તો શબ્દોમાં ઉજાગર કર્યો જ છે. When your inner light is shining bright, you find everything illuminated within your sight.
જે પોતે અંદરથી સંતુષ્ટ હોય, ખુશ હોય તેમને સર્વત્ર ઝળહળ જ દેખાય. જયારે અંતરનો ઉજાસ પારદર્શકતા થી પ્રજ્વલિત હોય ત્યારે પંતગિયાની પાંખમાં પણ પ્રકાશનો પમરાટ અનુભવાય. જીવનની વિષમમાં વિષમ પરિસ્થિતિમાં પણ આ વીરલાઓ સતત આનંદમાં રહે અને આજુબાજુ પણ આનંદ પ્રસરાવે. Do you know about the book Pollyanna? Pollyanna is a 1913 novel by American author Eleanor H. Porter, considered a classic of children’s literature. આ પુસ્તકમાં નાનકડી અનાથ બાળકી Pollyanna – આ અંતરના ઉજાસના સથવારે જીવનના અતિ વિષમ સંજોગોનો સામનો તો કરે જ છે પણ સાથે સાથે તેની આજુ બાજુ સૌને પણ જીવન નિજાનંદના સહારે કેવી રીતે જીવવું એ શીખવાડે છે. તમે આ પુસ્તક ન વાંચ્યું હોય તો જરૂર વાંચજો!!
તો ચાલો, આ અંતરના ઉજાસની જ્યોતને વધાવતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,
સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
“નવ વસંતની શીતળ લહેર રંગહિન પુષ્પોમાં રંગ ભરીને નીકળી પડે છે, તેમ તમે પણ અમારા વેરાન ઉદ્યાનમાં આવીને તેને પ્રફુલ્લીત કરો’, જેવા શબ્દોમાં ફૈઝ સાહેબે પોતાની ગઝલની શરૂઆત કરી, પૂરી કરી અને તેમાં કોઇએ ખરેખર રંગ પૂર્યા હોય તો તેને તરન્નૂમમાં રજુ કરી મેહદી હસન સાહેબે! વાહ એ ગઝલના રચયિતા અને વાહ તેના ગાયક!
૧૯૭૧માં પંજાબમાં બદલી થઇને જિપ્સી ગયો ત્યારે તેણે પહેલી વાર પાકિસ્તાનના લાહોર ટેલીવિઝન પર આ ગઝલની ‘ક્લિપ’ સાંભળી. સામાન્ય રીતે કોઇ અસાધારણ ચીજ સાંભળવા મળે તો મુખમાંથી શબ્દો નીકળે, “વાહ, ક્યા બાત હૈ!” તે દિવસે આ ગઝલ સાંભળીને કોઇ શબ્દ ન નીકળ્યા. આભો થઇને તે કેવળ જોતો જ રહ્યો, સાંભળતો જ રહ્યો. ગઝલ પૂરી થયા બાદ બીજું કોઇ ગીત કે કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં તેણે મેસમાંનો ટેલીવીઝન off કર્યો. જેમ દાર્જીલીંગ ચ્હાનો પહેલો ઘૂંટડો લીધા બાદ કે દસ વર્ષ જુની શાર્ડોનેના ‘બૂકે’ની ખુશ્બૂ માણી તેનો પહેલો ‘સિપ્’ મમળાવ્યો હોય ત્યાર પછી બીજું કશું ચાખવાની ઇચ્છા ન થયા તેવી ભાવના થઇ આવી. થોડી વારે અમારા સી.ઓ. આવ્યા તેમને જિપ્સીએ આ ગઝલ અને તેના ગાયક વિશે પૂછ્યું.
‘અરે, આ તો મેહદી હસને ગાયેલી ગઝલ છે. ફૈઝ અહેમદ ફૈઝની આ ગઝલ તેમણે પાકિસ્તાનની ફિલ્મમાં ગાઇ હતી.”
જિપ્સી માટે શરમની વાત તો એ હતી કે તે પહેલાં તેણે મેહદી હસનનું નામ પણ નહોતું સાંભળ્યું! સૈનિકોને અબૂધ અને ‘અજ્જડ’ અમસ્તાં નથી કહ્યા!
આજની વાત શરૂ કરી મેહદી હસન સાહેબ માટે અને આવી ગયો ફૈઝ અહેમદ ‘ફૈઝ’ સાહેબ પર! બન્નેની એ જ તો ખુબી છે! રત્નને શોભાયમાન કરવા માટે કોઇ આભુષણ જોઇએ. જો રત્ન કોહિનૂર કે કુલીનાન જેવું હોય તો તેના માટે તો રાજમુકૂટ જ જોઇએ. ફૈઝની કલમ રત્નની ખાણ સમાન હતી. તેમાંથી નીકળેલ અણમોલ રતન ‘તુમસે પહેલીસી મુહબ્બત’ મૅડમ નૂરજહાંએ ગાઇ ત્યારે ફૈઝ સાહેબે આ ગઝલ નૂરજહાંને નજર કરી! ગઝલકાર અને ગાયીકા, બન્ને જનતા માટે નજરાણાં સમાન બની ગયા. એવી જ રીતે ફૈઝ સાહેબની ખાણમાંથી ઝળહળતા લાલ (Ruby) સમાન ‘ગુલોંમે રંગ ભરે..’ જેવું નીકળ્યું, અને મેહદી હસનના કંઠમાંથી જડાઇને બહાર પડ્યું, ગઝલ અને ગાયકીના સંસારમાં ખળભળાટ મચી ગયો! મેહદી હસન પ્રખ્યાત થઇ ગયા! ‘ગુલોંમેં રંગ ભરે’ સંગીતપ્રેમી જનતા અને જનમાનસમાં છવાઇ ગયું.
ફૈઝ સાહેબે આ ગઝલ મેહદી હસનને નઝર કરી કે નહિ તે જિપ્સી જાણતો નથી. એ તો એટલું જ જાણે છે કે જ્યારે પણ આ ગઝલ રેડીયો કે ટીવી પર જોવાય કે સંભળાય, તેને મેહદી હસન સાહેબના નામે જ કરી દેવાય છે, એટલી સુંદર રીતે તેમણે ગાઇ. અને મેહદી હસનસાહેબ ગમે ત્યાં કાર્યક્રમ થાય, આ ગઝલ તેઓ જરૂર પેશ કરતા રહ્યા અને ફૈઝસાહેબને અદબપૂર્વક અર્પણ કરતા ગયા.
આમ જોવા જઇએ તો સંગીતની મહેફીલમાં મેહદી હસન, ફૈઝ સાહેબ અને મિર્ઝા ગાલિબની ત્રિમૂર્તી અભિન્ન સ્વરૂપે પ્રકટતી. શાયરની રૂહનો આશિર્વાદ ગાયક પર હોય તો તેમનો કલામ જીવંત થઇ ઉઠે. મેહદી હસન પર આ બે મહાન શાયરોની અસીમ કૃપા હતી, તેવી જ કૃપા મેહદી હસનની અન્ય શાયરો પર રહી. તેમનો અવાજ, તેમની ગાયકી, તેમની ગઝલના આત્માની પહેચાન એટલી ઊંડી હતી કે તેમના સ્વરમાં શાયર પોતે આવી જતા, અને મેહદી હસનના મુલાયમ અવાજમાંથી નીકળતી તાનની હલક અને તલફ્ફૂઝની નજાકત શ્રોતાઓનાં તન અને મન પર છવાઇ જતી.
મેહદી હસન જ્યારે ફૈઝ સાહેબનો કલામ ગાતાં, તેઓ શાયરનાં શબ્દોના માધુર્યને એવી રીતે પેશ કરતા કે તે જનતાના હૃદય પર છવાઇ જતું. આપ તો જાણો છો કે ફૈઝ સાહેબ ક્રાન્તિકારી હતા. તેમનો આત્મા સૈનિક શાસકોના બૂટની નાળ નીચે રગદોળાતી જનતાને જોઇ શાંત ન રહ્યો. પાકિસ્તાનનો અવામ એક વિશાળ પાંજરામાં બંદી હતો. જમીનદારો – વડેરાઓ – તથા ઉંચા હોદ્દા ધરાવતા મિલિટરીના અફસરોની ધાક નીચે ખેડૂતો ગુલામોની જેમ જીવી રહ્યા હતા. ન તેમને કોઇ રાહત મળતી હતી, ન ચાહત. ફૈઝ સાહેબના કલામ સત્તાધારીઓને રાસ ન આવ્યા અને તેમને લાંબા ગાળાના કારાવાસમાં મોકલ્યા. તેમણે દ્વિઅર્થી કલામ લખ્યા: જેમને સમજવું હતું તે સમજી ગયા. અવામ તેને સમજવા જેટલી ક્ષમતા કેળવે ત્યાં સુધી તેમનો કલામ તેમને હોઠે ચઢી જાય તેવી તેમને ખ્વાહેશ હતી. તેમની આ ખ્વાહેશને જનતા સુધી પહોંચાડવાનું કામ મેહદી હસને કર્યું. તેમનું ‘ગુલોમેં રંગ ભરે’ લોક હૈયે બેસી ગયું.
આજે આપની સમક્ષ અમે મેહદી હસને ગાયેલી ફૈઝ સાહેબની ગઝલ પેશ કરીએ છીએ. મેહદી હસન જ્યારે પણ ગાવા બેસે, તેમનો આગ્રહ રહેતો કે તેમના ચાહકો તેમની નજીક બેસે, અને તેઓ જે ગઝલ કે નજમ પેશ કરે, તેના મર્મને જાણી શાયરની રચનાને બિરદાવે. ઘણી વાર તેઓ પોતે ગીતની ખાસ પંક્તિ શરૂ કરતાં પહેલાં જે શે’ર ગાવાના હોય તેનો અર્થ, તેના ખાસ શબ્દનું ઊંડાણ સમજાવ્યા બાદ શે’ર અને ગઝલ પૂરી કરતા. તેથી હવે રજુ કરેલી ફૈઝસાહેબની ગઝલના શબ્દો તથા તેના અર્થની ગહેરાઇને અહીં ઉતાર્યા બાદ તેને અમે મેહદી હસન સાહેબનાં કંઠમાં સંભળાવીશુ.
અહીં જિપ્સીએ ‘અમે’ શબ્દ બહુવચન એટલા માટે વાપર્યો છે કે તેનું ઉર્દુનું જ્ઞાન નહિવત્ છે. તેણે નેટ જગતના ઉર્દુ અને ફારસીના વિદ્વાન અસગરભાઇ વાસણવાળાની મદદ માગી. અસગરભાઇએ અહીં ગુજરાતીમાં ઉતારવામાં આવનાર ગઝલના એક એક શબ્દની શુદ્ધતા ચકાસી, તેનો અર્થ લખી મોકલ્યો છે, જે અહીં રજુ કરવામાં આવ્યો છે, જેથી આપ ગઝલની મધુરતા તથા તેના શબ્દમાધુર્યનો રસાસ્વાદ એક સાથે કરી શકશો. અસગરભાઇએ આપણા માટે જે જહેમત કરી છે તે માટે જિપ્સી તેમનો હાર્દીક આભાર માને છે, અને નીચે ગઝલ તથા તેનો અસગરભાઇએ લખી આપેલ સાર આપ્યો છે.
“નવ વસંતના પવનની મંદ લહેર આવીને પુષ્પોમાં રંગ પૂરે, અને રંગ બેરંગી ફૂલોથી સજાયેલ બાગ લોકોને આનંદ આપવાનું કામ કરે, તે માટે તો આપ પધારો! (જાણે નિસર્ગે આપની ગેરહાજરીને કારણે પોતાનું કર્તવ્ય કરવાનું છોડી દીધું છે!) “ શેરનો સામાન્ય અર્થ થાય છે: પ્રિયતમા, તમારી હાજરીથી ફૂલોમાં રંગ પૂરાય છે. તમે નથી તો કુદરતે તેનું કામ કરવાનું મૂકી દીધું છે!)
ક઼ફ઼સ ઉદાસ હૈ યારો સબા સે કુછ તો કહો
કહીં તો બહેરે ખુદા આજ ઝિક્રે યાર ચલે
“દોસ્તો, પિંજરામાં ગમગિની છવાઇ છે! મિત્રો, ખુદાને ખાતર પવનની લહેરને કંઇક તો કહો જેથી ક્યાંક તો પ્રિયતમા વિશે વાત થાય અને તે સાંભળે!” કફસ એટલે પાંજરૂં. કવિ કહે છે જે પિંજરામાં તે ફસાયા છે, તેનો આખો માહોલ ઉદાસ છે. એવી જગ્યાએથી શીતળ પવન આવે જે તેમના સમાચાર લાવે! (ફૈઝ સાહેબને ફૌજી હકૂમતે વર્ષો સુધી જેલમાં રાખ્યા હતા. અહીં જાણે તેઓ તેમના સાથી કેદીઓને કહી રહ્યા હોય તેવું લાગે!)
કભી તો સુબ્હ તેરે કુન્જે લબ સે હો આગ઼ાઝ઼
કભી તો શબ, સરે કાકુલ સે મુશ્કબાર ચલે
“કોઇક વાર તો તમારા હોઠના નાજુક ખૂણામાંથી (નીકળતા સ્મિતમાંથી) ઉષાનાં કિરણો નીકળે અને તમારા કાળા, વાંકડીયા કેશની લટમાંથી રાત્રી ખુશ્બૂદાર બની જાય!
શાયર વિયોગની રાત પર કટાક્ષ કરે છે. અહીં ભાર અપાયો છે ‘શબે હિજરાં’ – “વિયોગની રાત્રી” પર. (વિયોગની રાત મા)મારા પર જે વિતી તે વિતી પણ રાતમાં રડેલા મારા આંસુઓ તથા એ વિયોગની રાત, તારો ભવ(આકેબત) સુધારી ગયા.
હુઝ઼ૂરે યાર હુઈ દફ઼તરે જૂનૂં કી તલબ
ગિરહ મે લેકે ગરેબાં કે તાર-તાર ચલે
મક઼ામ કોઈ ફૈઝ઼ રાહ મે જચા હી નહી
જો કૂ-એ-યાર સે નિકલે તો સૂ-એ-દાર ચલે
શે’રનો સાદો અર્થ છે, ‘જ્યારે મારે મારી પ્રિયતમાના ઘરની રાહ છોડવી પડી, હું સીધો ફાંસીના માંચડા તરફ ગયો. મારા માટે બીજો કોઇ વિકલ્પ નથી. વાસ્તવમાં ફૈઝસાહેબના આ શબ્દો પાકિસ્તાન માટે છે: આઝાદી યા મૌત!
હવે ગઝલ ‘ગુલોંમેં રંગ ભરે’ મેહદી હસન સાહેબના સ્વરમાં સાંભળીએ.
કહો તો, તાજ ખુબસુરત છે કે તેમાં જડાયેલું રત્ન? જિપ્સી માટે આ કઠણ પ્રશ્ન છે. આપ કદાચ સંમત થશો કે બન્ને મૌલ્યવાન છે અને એકબીજામાં ભળી તે અણમોલ બની ગયા!
ઘાસનાં મેદાનો, કાંટાળા જંગલ, ખેતરો કે ગામડાની સીમમાં ફરતા હોઈએ ત્યારે ઘણીવાર વીજતાર કે બાવળ પર એક નાનકડું પક્ષી શાંતિથી બેઠેલું જોવા મળે છે. તેની નજર સતત આજુબાજુ ફરતી હોય છે, જાણે કોઈ તકની રાહ જોઈ રહ્યું હોય. દેખાવમાં ભોળું લાગતું આ પક્ષી વાસ્તવમાં કુદરતના સૌથી કુશળ શિકારીઓમાંનું એક છે. ગુજરાતમાં તેને લટોરો તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે અંગ્રેજીમાં તેને શ્રાઇક (Shrike) અથવા બુચરબર્ડ (Butcherbird) કહેવામાં આવે છે.
[લાલપીઠ લટોરો (red backed shrike)]લટોરાની ઓળખ કરવી ખૂબ જ સહેલી છે, જો કે ઘણી બધી અલગ અલગ પ્રજાતીના લટોરા પક્ષીઓ મળે જેને અલગ પાડવા થોડાક અઘરા પણ ભલે પ્રજાતિ કઈ છે તેનો કદાચ અંદાજો ન આવે પણ એ પક્ષી એક શ્રાઈક છે એ તેના આંખ ઉપર ઘાટા કાળા પટ્ટાની હાજરી થી કહી શકો. એ કાળો પટ્ટો નરમાં ઘાટો અને માદામાં આછો હોય છે.
“બુચરબર્ડ” એટલે કે “કસાઈ પક્ષી” નામ, તેને એમ જ મળ્યું નથી. કદમાં તે સામાન્ય મૈના કરતાં પણ નાનું હોય છે, છતાં તેની શિકાર કરવાની રીત કોઈ બાજ કે સમડીથી જરાય ઓછી નથી. તે જીવાત, ગરોળીઓ, દેડકાં, નાના ઉંદરો અને ક્યારેક અન્ય નાનાં પક્ષીઓનો પણ શિકાર કરે છે.
પરંતુ તેની પાસે બાજ કે ગરુડ જેવા મજબૂત પંજા નથી, જેના વડે શિકારને પકડી રાખી શકાય. કુદરતે આ ખામીનો પણ અનોખો ઉપાય શોધી આપ્યો છે. લટોરો પોતાના મજબૂત અને આગળથી અણીદાર ચાંચ વડે શિકાર પકડે છે અને પછી તેને બાવળના કાંટા, તારની વાડ અથવા તીક્ષ્ણ ડાળીઓમાં પોરવી દે છે. ત્યારબાદ તે આરામથી શિકારના ટુકડા કરીને ખાય છે. ઘણી વખત તે આવો શિકાર ભવિષ્ય માટે સાચવી પણ રાખે છે. આ કુદરતી “ભંડાર” તેના જીવનની એક અનોખી વિશેષતા છે અને તેથી જ તેને “કસાઈ પક્ષી” તરીકે ઓળખવામાં આવે છે.
[ગ્રેટ ગ્રે શ્રાઈક એક ઉંદરના શિકાર સાથે](આ વિડીયોમાં શ્રાઈકને શિકાર કરતો જોઈ શકાય છે
લટોરો, ધીરજવાન શિકારી છે. કોઈ ઊંચા થાંભલા, વીજતાર કે ઝાડીની ટોચ પર બેસીને આસપાસની જમીન પર બારીક નજર રાખે છે. જેમ જ કોઈ જીવાત કે નાનું પ્રાણી દેખાય કે તરત જ વીજળી જેવી ઝડપે તેના પર તૂટી પડે છે અને ફરી પાછો પોતાના મનપસંદ બેઠકસ્થાન પર આવી જાય છે. આ પદ્ધતિ ઓછી શક્તિ વાપરીને વધુ સફળ શિકાર કરવામાં તેને મદદ કરે છે.
તેના ખોરાકમાં તીડ, ભમરા, પ્રેઇંગ મેન્ટિસ, ઇયળો, કરોળિયા અને વીંછી જેવી જીવાતોનો મોટો ભાગ હોય છે. ઉપરાંત તે ગરોળી, દેડકો, નાના ઉંદર તેમજ ક્યારેક અન્ય પક્ષીઓના બચ્ચાંનો પણ શિકાર કરે છે. ખેતીને નુકસાન કરતી અનેક જીવાતોનો ભક્ષણ કરીને તે ખેડૂતોનો નિઃશબ્દ મિત્ર પણ બની રહે છે.
નાનું કદ હોવા છતાં લટોરાના શરીરમાં શિકારીને અનુકૂળ અનેક વિશેષતાઓ જોવા મળે છે. તેની મજબૂત અને આગળથી અણીદાર ચાંચ શિકારને મજબૂત રીતે પકડવા અને માંસ ફાડવા માટે અનુકૂળ છે. તેની તીક્ષ્ણ દૃષ્ટિ દૂર બેઠા બેઠા પણ જમીન પર થતી નાનામાં નાની હિલચાલને ઓળખી શકે છે. ખુલ્લી જગ્યાએ ઊંચા સ્થાને બેસવાની તેની ટેવ તેને ચારે તરફનું સ્પષ્ટ નિરીક્ષણ કરવાની તક આપે છે. આ બધાં ગુણોને કારણે, ભલે તે પેસેરાઇન પક્ષી હોય, પરંતુ તેનું વર્તન ઘણી રીતે શિકારી પક્ષીઓ જેવું જ લાગે છે.
ગુજરાતમાં વસવાટ કરતી લટોરાની પ્રજાતિઓનો પ્રજનનકાળ સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતથી ચોમાસા સુધીનો હોય છે. આ સમય દરમિયાન જીવાતોની સંખ્યા વધી જતી હોવાથી બચ્ચાં માટે પૂરતો ખોરાક ઉપલબ્ધ રહે છે.
નર અને માદા મળીને કાંટાળી ઝાડીઓ અથવા નાનાં વૃક્ષોમાં સૂકા તણખલાં, ઘાસ, મૂળિયાં અને છોડના રેસામાંથી સુંદર કપ આકારનો માળો બનાવે છે. અંદરનો ભાગ નરમ સામગ્રીથી ગાદીવાળો બનાવવામાં આવે છે જેથી ઈંડાં અને બચ્ચાં સુરક્ષિત રહે. માદા મુખ્યત્વે ઈંડાં સેવે છે, જ્યારે નર તેના માટે ખોરાક લાવે છે. બચ્ચાં બહાર આવ્યા પછી બંને માતા-પિતા સતત તેમને ખવડાવે છે. માળો છોડ્યા પછી પણ થોડા સમય સુધી બચ્ચાં માતા-પિતા સાથે રહીને શિકાર કરવાની કળા શીખે છે.
લટોરાનું જીવન ખુલ્લા ઘાસિયા મેદાનો, ઝાડીવાળા અને કાંટાળા જંગલો અને ખેતીની જમીન સાથે ગાઢ રીતે જોડાયેલું છે. આવા વિસ્તારો તેને શિકાર માટે ખુલ્લી જગ્યા, બેસવા માટે ઊંચા સ્થાનો અને માળા બનાવવા માટે કાંટાળી ઝાડીઓ પૂરી પાડે છે.
દુર્ભાગ્યે આજે આવા કુદરતી નિવાસસ્થાનો ઝડપથી ઘટી રહ્યા છે. ઘાસિયાળા પ્રદેશોનું ખેતી કે બાંધકામમાં રૂપાંતર, કાંટાળી ઝાડીઓની સફાઈ, વધતું શહેરીકરણ અને જંતુનાશકોના વધતા ઉપયોગને કારણે જીવાતોની સંખ્યા ઘટી રહી છે. પરિણામે લટોરા માટે ખોરાક અને પ્રજનન માટેની યોગ્ય જગ્યાઓ બંને ઓછી થતી જાય છે.
ઘાસિયા મેદાનો, કાંટાળી ઝાડીઓ અને ખુલ્લા કુદરતી આવાસોનું સંરક્ષણ માત્ર લટોરા માટે જ નહીં, પરંતુ અસંખ્ય પક્ષીઓ, સરીસૃપો, જીવાતો અને અન્ય નાના પ્રાણીઓ માટે પણ અત્યંત જરૂરી છે.
ગુજરાતમાં લટોરાની ત્રણ પ્રજાતિઓ આખું વર્ષ જોવા મળે છે—લોંગ-ટેઇલ્ડ શ્રાઇક, બે-બેક્ડ શ્રાઇક અને ગ્રેટ ગ્રે શ્રાઇક. શિયાળામાં ઇસાબેલાઇન શ્રાઇક અને બ્રાઉન શ્રાઇક મહેમાન તરીકે આવે છે, જ્યારે રેડ-બેક્ડ શ્રાઇક અને રેડ-ટેઇલ્ડ શ્રાઇક સ્થળાંતર દરમિયાન થોડા સમય માટે ગુજરાતમાંથી પસાર થાય છે. આ રીતે ગુજરાત લટોરાની વિવિધ પ્રજાતિઓનું નિરીક્ષણ કરવા માટે દેશના શ્રેષ્ઠ પ્રદેશોમાંનું એક ગણાય છે. ખાસ કરીને લાલપૂંછ લટોરો (red tailed shrike) અને લાલપીઠ લટોરો (red backed shrike) જે ખાલી કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સ્થળાંતર સમયે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન પસાર થતા હોય છે ત્યારે તેને નિહાળવા પક્ષીપ્રેમીઓ ભારતના વિવિધ ખૂણાઓથી ભેગા થાય છે.
લટોરો આપણને શીખવે છે કે કુશળ શિકારી બનવા માટે માત્ર મોટું શરીર હોવું જરૂરી નથી. ધીરજ, બુદ્ધિમત્તા અને કુદરતે આપેલી અનોખી અનુકૂલનતા સામાન્ય જીવને અસાધારણ બનાવી શકે છે. આગામી વખતે જ્યારે કોઈ બાવળની ટોચ પર કે વીજતાર પર એક નાનું પક્ષી સ્થિર બેઠેલું દેખાય, ત્યારે તેને માત્ર એક સામાન્ય પક્ષી સમજીને આગળ વધી જશો નહીં. કદાચ તમે કુદરતના સૌથી ચતુર અને અદ્ભુત નાનકડા શિકારીને નિહાળી રહ્યા હશો.
“નેહા બેટા, આ દહીં તો જામ્યું નથી. મેળવણ નાખવાનું ભૂલી તો નહોતી ગઈ?”
“નહીં, બા. મેળવણ તો ચોક્કસ મેળવેલું. રાત્રે અચાનક ઠંડી પડી એટલે કદાચ નર્હીં જામ્યું હોય.’”
કૉલેજમાં આર્ટસની વિદ્યાર્થી રહી હોવા છતાં નેહાને દહીં જામવાના સમયને ઉષ્ણતામાન જોડે સંબંધ છે તે અનુભવથી ખબર હતી.
દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયામાં મુખ્ય ભાગ જીવાણુઓ ભજવે છે. લેકરોબેસિલ્સ બલ્ગારિક્સ કે સ્ટેપ્ટોકોકસ થર્મોફિલીસ જેવા જીવાણુઓ આપાણે જાણી જોઈને દૂધમાં ભેળવીએ છીએ. આ જીવાણુઓ દૂધમાંની શર્કરા ખાઈને જીવે છે અને પોતાની સંખ્યામાં વધારો પણ કરે છે. એક રીતે આ આથો આવવાની પ્રક્રિયા જ છે, જમાં જીવાણુઓ લેક્ટિક એસિડ નામનો ખાટો પદાર્થ છોડે છે. આ સૂક્ષ્મ જીવોના પાચનની પ્રક્રિયાની આડપેદાશોને લીધે દૂધમાં જે ઘનપદાર્થો છે (કેસીના નામનું પ્રોટીન અને કેલ્શિયમ ફોસ્ફેટ) તે થીજીને ઘટ ચક્કો બનાવે છે. આ ચકકો તે આપણું દહીં.
પરાણે જીવાણુ ઉછેરવાની આ વાતમાં એક આડવાત પણ છે. તે એ કે જો આપણ્ર જીવાણુ ન નાખીએ તો પાણ દૂધમાં પડે પડે જ કોઈ બીજા પ્રકારના જીવાણુઓ તો પોષાવાના જ છે. દિવસમાં જો બે વાર દૂધને ગરમ ન કરો તો એ લચકો થઈ જાય છે તે તમે જોયું હશે. એ પણ જીવાણુઓનો પ્રતાપ જ છે. એ લચકો થોડો ખાટો તો ક્યારેક થોડો કડવો હોય છે. વધારામાં એ આપણા પાચનતંત્રને અનુકૂળ નથી. આમ દહીં બનાવવાની પ્રક્રિયા એ કુદરતી રીતે સંવર્ધન પામતા જીવાણુઓને માત કરવાની આપણી રીત છે.
પ્રાચીન કાળમાં જ્યારે પ્રચુર માત્રામાં દૂધ મળતું હશે (પણ રેફિજેરેટર ન હતાં) ત્યારે સાચવણી માટે દહીંની શોધ થઈ હશે. આપાગે મેળવેલા જીવાણુઓ શર્કરા ખાતા રહે તેથી પેલા અણમાનીતા જીવાણુઓ માટે શર્કરા બચતી નથી. વળી જે લેક્ટિક એસિડ છૂટે છે તેના ખાટા વાતાવરણમાં એ જીવી નથી શકતા અને તેની વસતિ પણ વધી નથી શકતી. આમ એક કાંકરે બે પક્ષી મરે છે- દૂધ સચવાઈ જાય છે અને પોષણદાયક દર્હીં પણ મળે છે.
સમય અને ઉષ્ણતામાન
સારા અને ખરાબ એ બંને જીવાણુઓ (બેક્ટેરિયા )નો ગુણાકાર ઉષ્ણતામાન પર આધાર રાખે છે. આથી જ ગરમીના દિવસોમાં દૂધ જલદી ખરાબ થાય છે. તેમ બીજી તરફ દહીં જમાવતી વખતે ઋતુનો ખ્યાલ રાખવો પડે છે. કચ્છ-સૌરાષ્ટ્રના ઠંડા શિયાળામાં જો પૂરતું મેળવણ ન નાખો તો રાતનું જમાવેલ દૂધ બીજ દિવસે બપોરે પાણ દર્હીં નથી બનતું. તેથી ઊલટું, જો તમે બહુ ગરમ દૂધમાં મેળવણ નાખો તો દહીંમાં ઉપર પાણી હોય છે. આ ખાટું પાણી બતાવે છે કે કાં મેળવણ વધારે (અથવા ખાટું) હતું, કે પછી ઉષ્ણતામાન વધારે.
દહીં જલદી બનાવવું હોય અને છતાં ખાટું ન પડવા દેવું હોય તો આદર્શ ઉષ્ણતામાન ૩૩ થી ૪૪૦ સેલ્સિયસ છે. મેળવતી વખતે તો ૫૫” સે. જટલું ગરમ દૂધ પણ ચાલે, પરંતુ પછી ઠંડું પડી ૩૩ – ૪૪૦ના ગાળામાં સતત જાળવી રાખો તો ચાર કલાકમાં દર્હીં બની જાય. ૫૫૦ સેલ્સિયસ એટલે આંગળાં બોળો તો બહુ ગરમ લાગે, પરંતુ દાઝે નહીં એટલું તાપમાન. ઉષ્ણતામાનની જોડાજોડ મેળવણની માત્રા પણ અગત્યની છે તે તો ગૃહિણીઓ જાણે છે. ઠંડી ઋતુમાં ઉષ્ણતામાન ઓછું હોય અને છાસ મોળી હોય કે ઓછી મેળવાઈ હોય તો દહીં કયારેક ચીકણું કે બેસ્વાદ બને છે. આવું એટલે થાય છે કે તમારા માનીતા જીવાણુઓ અને કુદરતી જીવાણુઓ વચ્ચે સ્પર્ધા હોય છે. બીજા શબ્દોમાં કહો તો દહીં જામવાની પ્રક્રિયાની સાથોસાથ દૂધ બગડવાની પ્રક્રિયા જોડાજોડ ચાલે છે. આથી દહીંનો ચક્કો બરાબર બનતો નથી. આવું થાય ત્યારે બીજા દિવસે મેળવણ તરીકે આ દહીં (કે તેની બનેલી છાસ)નો ઉપયોગ ન કરવો, નહીં તો આવું દહીં ઘણા દિવસો લગી બન્યા કરશે. પાડોશી પાસેથી સારું દહીં લઈને કે ફિજમાંથી જૂના સ્ટોકનું દહીં કાઢીને નવું ચક્ર શરૂ કરવું જોઈએ.
ફ્રિજ વિનાના ઘરમાં:
આજની ગૃહિણી પાસે સામાન્ય રીતે રેફિજરેટર હોય છે. તેની તુલનામાં ગઈ કાલની ગૃહિણીઓ સામે દર્હીં બનાવવામાં કેટલો મોટો પડકાર હતો તે સમજવા જવું છે. ફ્રિજ વિનાની ગૃહિણીઓએ માત્ર એ વિચાર નહોતો કરવાનો કે “દહીં ક્યારે જામશે?’ તેણે એ પણ ધ્યાનમાં લેવું પડે છે કે દહીં કયારે જોઈશે. બની ગયેલું દહીં પડ્યે પડ્યે ખાટું થાય તે કરતાં મોડું જ જામે એ તેને માટે સગવડરૂપ થાય. એટલે મેળવણ લગાવતી વેળા તેણે ઋતુ ઉપરાંત ટાઇમટેબલ પણ લક્ષમાં રાખવું પડે.
કચ્છ જવા પ્રદેશમાં શિયાળામાં ૩૦-૪૦ સે. જેટલાં ઓછા ઉષ્ણતામાનથી માંડી ઉનાળાના ૪૪૦ સે. ઉષ્ણતામાન જેટલા વિશાળ વ્યાપમાં રેફિજરેટર વિનાના રસોડા માટે દહીં બનાવવું એ નિપુણતાની ખરી કસોટી રહી હશે. લેખકની માતાની પેઢી એ કસોટીમાંથી પસાર થઈ તેથી આજે પણ તેને સલામ કરવાનું મન થાય છે. વળી તેથી એ પણ સાબિત થાય છે કે વિજ્ઞાન માત્ર પાઠયપુસ્તકમાંથી નહીં પણ વ્યવહારમાંથી પણ આત્મસાત્ થઈ શકે છે.
વાત છે ૪૫-૪૭ વરસ પહેલાંની. શિહોર તાલુકાનું ગામ “વાવ” એ અમ ભાઇઓનું મોહાળનું ગામ. નાનો ભાઇ વજુ એ અરસામાં મોહાળમાં રહીને ભણે. મામાની વાડીએ વાઢનો મોટો ઘેરો અને શેરડીનો રસ કાઢી ગોળ બનાવવાની કામગીરી ચાલે. તે દિવસોમાં ચીચોડો ચલાવવા મશીન કે મોટરનો ઉપયોગ હજુ શરૂ નહીં થયેલો-બળદો જોડી ચીચોડો ચલાવાતો. વજુને ચીચોડામાં શેરડી ઓરવાનો ભારે શોખ, નિશાળેથી રજા પડી ન પડી ને વજુ ચીચોડે પહોંચી શેરડી ઓરવા બેસી જાય. સાંઠા ઓરવામાં માપસરનો જ ઓર થવો જોઇએ એનું રાખવાનું હોય છે બરાબરનું ધ્યાન-વધુ રાડા ઓરાઇ જાય તો ચીચોડાને પડે ભીંહ, અને ગોળ ગોળ રીતે ચીચોડો ફેરવવા હાલતા બળદ રહી જાય ઊભા ! અને જો ઓછા રાડા ઓરાય તો ચીચોડો ખાલી વે [ફરે ] અને રસની કુંડી ભરાતા વખત લાગી જાય વધારે. વજુને માપસરનો ઓર કરવાનું સારું ફાવતું. એટલે વજુ રાડા ઓરતો હોય ત્યારે વડીલોને બન્ને બાબતે રહેતી નિરાંત કે ન બળદિયાને ખોટી ભીંહ પડે કે ન ચીચોડો ખાલી વે !
એક દિ’ ખ્યાલ ફેર થઈ ગયો અને બે સાંઠાની ભીડમાં બન્ને હાથના આંગળા એવા ભીડાઇ ગયા કે ઘણું બળ કર્યા પછી એક હાથ માંડ છૂટો થયો અને એક તો એવો સાંઠાના બેવનમાં પકડાઇને પહોંચી ગયો ઠેઠ ચીચોડાના સર અને બુટડી [નાના મોટા દાંતી રોલર] ના મોઢામાં. ખ્યાલ આવતા ચીચોડો ફેરવતા બળદિયા ઊંભા રહે રહે ત્યાં પંજાની બધી આંગળીઓને ચેપીનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. શિહોરના દવાખાને દાખલ થઈ, આંગળીઓને અગણિત ટાંકા લઈ, ઘણા દિવસો દવાખાને રોકાઇ સારવાર લીધી તોય એક આંગળી તો ટુંકી રહી ગઈ તે જીંદગીભર રહી ગઈ.
ખેતી એ તો કેટલાય ટાઢ-તડકો અને મે-માવઠાં જેવા કુદરતી પરિબળોની વચ્ચે રાત-દાડો અને અહૂર-સવાર કરવો પડતો વ્યવસાય છે ભાઇ ! એમાં જમીન, શેઢા-પાળા, કૂવા-કુંડીઓ, છોડવા-ઝાડવા, જાનવરો અને જીવ-જંતુઓની સાથે જ કાયમ પનારો પડેલો હોવાથી ક્યારે થોડીક ચૂક પડી જાય અને ક્યારે ન થવાનું થઈ બેસે, કંઈ નક્કી નથી હોતું. આ રહ્યા એવા પસંગો કે જેમાં કંઇ ને કંઇ અકસ્માત થઈ બેઠો હોય.
સાપટીંગમાં ખમીસની ચાળ પકડાઇ ગઈ : અમારે માલપરામાં ભાઇ દામજીના કૂવામાં આડા દાર કરવા શારડો હાલે, અને ચિંધાણ કરવા પોતે કૂવામાં ઉતરેલો. કપડાં કંઇ ધોતિયું-જભ્ભો જેવાં ઢીલાં-ફરફરતાં નહીં પહેરેલાં. પહેર્યું તો હતું ચોરણી ને ખમીસ જ. પણ કોણ જાણે કેમ થયું કે ખમીસની પાછલી ચાળ ગોળ ગોળ ફરતી સાપટીંગે પકડી લીધી અને એવી તો વીંટળાવા માંડી કે દામજીના વાંહાને સંકેલી દઈ કરી દીધો ટુંકો ! એ તો સારું કર્યું કે ખમીસની ચાળ બહુ ભીંહ પડતાં ફાટી ગઈ. નહીંતો તો કેટલું નુકસાન કરી દેત કંઇ કહેવાય નહીં ! ઘણા દિવસો સુધી આરામ અને દવા લીધા પછી માંડ સરખાઇ આવી.
આવું ઘણીએ વાર મગફળી કે ઘઉં-બાજરાનું ઓપનર-હલર હાલતું હોય અને જો જરીકેય ખ્યાલ ફેર થયો તો પટ્ટો કપડું પકડી લે કે ક્યાંક સળે વચાળે હાથ આવી જતા વાર લાગતી નથી.
ઝાડવેથી પડી જવાય : મારા મામાના દીકરા સવજીભાઇ હમણાં દીવાળી ઉપર જ સરગવાની શીંગો ઉતારવા સરગવાના ઝાડ પર ચડેલા અને લળાંભીને થોડી દૂરની તીરખી પર ટીંગાતી શીંગ ઉતારવા ગયા ત્યાં શીંગ તો હાથમાં આવી ગઈ પણ વજન પાતળી ડાલી પર આવી જતાં કડાક…કરતી ડાળી તૂટી પડી અને સવજીભાઇ ખાબક્યા હેઠા, અને બીજી ડાળીનો કઠ્ઠણ ભાગ છાતી સાથે એવો ભટકાયો કે પાંહળાંમાં ફેક્ચર કરી દીધું. દવાખાને ગયા તો પ્લાસ્ટર આવ્યું ને ઘણા દિવસનો ખાટલો સેવવો પડ્યો અને ખર્ચ થયો એટલો કે એ સરગવાની શીંગ રૂપિયા પચ્ચીસ હજારમાં પડી ! તમે જુઓ ! જાંબુડાં ઉતારવાં, આમળાં ઉતારવાં, કે કેરી-ચીકુ જેવાં ફળો ઉતારવામાં ઝાડવે તો ચડવું જ પડતું હોય છે. ઘણું ધ્યાન રાખવા છતાં ક્યારેક ખ્યાલબારું વર્તન થઈ જાય છે અને ભૂંડાઇનો અકસ્માત સર્જાઇ બેસે છે.
એ તો હવે સેંટ્રીફ્યુગલ પંપ-ઓઇલએંજિન અને ઇલેક્ટ્રીક મોટરો આવી જતાં કૂવામાંથી પાણી ખેંચવાના “કોહ” ચલાવવાનું બંધ થયું. નહિતો જૂના વખતમાં ચાલુ કોહે મંડાણ કે ઢીંગલો ભાંગી પડતાં, અરે ! વરત કે વરતડી તૂટી પડતાં કૂવાકાંઠે જે અકસ્માતો બનતા તેમાં કોશિયો તો નંદવાતો અને બળદિયાને પણ વાગી બેસતું. અને અત્યારની વાત કરીએ તો ફ્યુઝ-સ્ટાર્ટર કે કેબલ-લીકના કારણે જરીકેય ખ્યાલફેર થઈ ગયો તો ? તો એ અકસ્માત નાનોસૂનો નહીં, પ્રાણઘાતક જ નીવડતો હોય છે.
ભરોટું ભરતા લથડી જવાય : બળદ-ગાડામાં કે ટ્રેક્ટરની ટ્રોલીમાં – કડબ, સાંઠી, તલહરાં કે ભલેને ભરતા હોઇએ મગફળીના પાથરા. ભરોટું ખડકતી વખતે નીચેનો ડાગળો ખડકનારની આંખે સીધો દેખાઇ શકતો નથી.એણે તો આરહે આરહે જ ઉપર સાંઠી, તલહરા કે પાથરા-પૂળા ખડક્યે જવાના હોય. એમાં જરીકેય ઓહાણચૂક થાય અને વાડ્યની બહાર વજન અપાઇ જાય તો પછી એ જણને બેલેંસ હાથ કરવામાં-ઉપર જટ પકડી લેવાના આધાર જેવું તો કંઇ હોવાનું નહીં, એટલે એણે તો દડુક લઈ નીચે જ દડી જવાનું બનતું હોય છે. અને શરીરના ક્યા ભાગમાં કેટલું વાગશે એ થોડું નક્કી હોય છે ?
અને ભર પૂરો ભરાઇ ગયા પછી બે-ત્રણ જણ મળી ભારાબંધ ખેંચી સતાણ કરતાં ક્યારેક એવુંયે બની જતું હોય છે કે ભારાબંધનું રાંઢવું જ તૂટી પડે અને છટકીને ગરેડો ખેંચનારનું કપાળ કે માથું એવી રીતનું ફોડી નાખે કે ડોક્ટરની સારવાર પછીયે કપાળે કાયમી એંધાણી રૂપેનો ઘોબો ઠઠ્યો રહ્યો હોય !
ઢાંઢા વગાડી દે : અમારે ગોવિંદ કરીને સાથી હતો. પહેલી જ ધરના વઢિયારા બળદ જોડી, સાંતીના સાંબડા પર ઊભો રહી, વાડીમાં કળિયું હાંકતો હતો. બળદિયા ઉતાવળી હાલ્યે હાલે જતા હતા અને ગોવિંદ ટેસમાં આવી જઈ સળુકાના વેણ ગણગણ્યે જતો હતો. એવામાં બન્યું એવું કે ઉનાળાનો વખત, ને જમીન બધી ખેંચાઇને સજ્જડ બની ગયેલી હોઇ, ઓચિંતાનું ધડામાંથી મોટું ઢેફું ઊખડ્યું ને લાગ્યો આંચકો તે ધાર્યું ન રહ્યું ને ગોવિંદ ફરંગટી ખાઈને પડ્યો સાંબડા પરથી હેઠો અને હાથમાંથી બળદિયાની રાશ મૂકાઇ ગઈ, બળદિયા ભડક્યાને એ તો કળિયું ઢસડતાકને ભાગ્યા તે શેઢા પાડોશી દેવાભાઇનું ધ્યાન ગયું, અને દોડતા આવી બળદિયાની સામે આડા ફરી ગયા ત્યારે માંડ ઊભા રહ્યા !! પણ જોયું તો બન્નેના પાછલા પગ કળિયાની રાંપ ભટકાઇ ભટકાઇ લોહીલૂહાણ થઈ ગયેલા. ગોવિંદને કડનો મણકો દુખી ગયો,તે તેને બેમહિનાનો આરામ આવ્યો ને બળદિયાના પગે રૂઝ લાવવા ડોક્ટરી સારવાર આપવી પડી.
જીવડું અડી જાય : ઘાસ-પૂસ ને ધૂડ સાથેનો ધંધો હોવાથી કામ કરતા કરતા ક્યારેક ધ્યાન ન રહ્યું હોય તો વીંછુડો આકડો મારી દે ત્યારે તેની પીડા તો એવી અસહ્ય હોય છે કે એ તો જેને વીતી હોય એને જ ખબર હોય ! અમારે મકો કરીને એક સાથી હતો. તમે માનશો ? એણે છ મહિનામાં ચાર વખત ધોરિયો સાફ કરતા પડકું કરડાવેલું. પણ એ હતો બુદ્ધિનો બેક બુડથલ, તે એની નજર કામ માં હોય એનાથી જાજી ચલમ [હોકલી]પીવામાં જ રહેતી, એટલે એવું જીવજંતુ અગાઉ ભાળવાને બદલે કરડી જાય પછી જ ભાળતો. શેઢા-પાળાના અડાબીડ ઘાસમાં ઉતાવળે હાલવા જતા ક્યારેક પડકું કે સાપોલિયું હડફેટે ચડી જાય અને એના સ્વબચાવ અર્થે બટકું ભરી લીધાના પ્રસંગ ભલે જવલ્લે જ બને, પણ એવે વખતે તો આખું કુટુંબ હાશ-બાકળા થઈ જતું હોય છે.
અરે અમારા બનેવીને હમણા ગયા વરસે જ વાઢેલી જુવારના પૂળા વાળતાં એક સાપોલિયું પગના અંગુઠે એવો ડંખ મારી બેઠું કે બહુ લાંબી સારવાર પછીયે અંગુઠો કપાવ્યો ત્યારે જ એ પગને રૂજ આવી. ચોસલામાં મારા લખમણકાકા વાલાણી રહે છે. એનો કૂવો ગાળવાનું કામ ચાલતું હતું. સાંજે ઉધડિયાએ કામ પૂરું કર્યા પછી દોરડાં સંકેલી બાજુના ઓઘામાં સંઘરવા જ્યાં ઓઘાનો પૂળો ઉંચો લીધો ત્યાં હાથના અંગુઠે સાપ એવું બચકું ભરી બેઠો કે હાથ પાછો ખેંચતાં આખો સાપ હારોહાર બહાર ખેંચાઇ આવ્યો ! જાણે લખમણકાકાની રાહ જોઇને જ પૂળાનીચે સંતાઇને બેઠો હોય એમ ! અમે ભાવનગર અઠવાડિયું દવાખાને રાખ્યા ત્યારે ઝેર ઉતર્યું.
કૂવાકાંઠે કામ કરવામાં કપાણ્યે ચડી જવાય : કૂવો ગાળતા,કે કૂવામાં પંપ-મોટર ઉતારતા-ફીટ કરતાં ક્યારેક અંદર ઉતરતા ભેખડેથી પગ લસરી જાય કે જેના આધારે ચડ-ઉતર કરાતુ હોય એ વરત-દોરડું તૂટી જતા કૂવાકાંઠાના અકસ્માતો બનવા એ કંઇ નવું નથી. પણ મને એક જુદી જાતનો અનુભવ થયો એની વાત કરુ તો….મેં અમારા નદીકાંઠાના કૂવાને ૨૦ ફૂટ ઊંડો કરવા ઉધડો આપેલો. કામ પૂરું કર્યા પછી કૂવામાં ઉતરી રૂબરૂ જોવા-તપાસવાની મારી ના હોવા છતાં ઉધડિયા રાઘવભાઇ ડુંગરાણીએ મને આગ્રહ કર્યો કે નહીં, આવો ને આવો જ ! હું ખૂણા પર ટીંગાતા વરતના આધારે કૂવામાં ઉતરી તો આસાનીથી ગયો, પણ વહમું ત્યારે પડ્યું જ્યારે કૂવામાંથી બહાર નીકળવા દોરડું પકડી ચડવાનું શરૂ કર્યું ત્યારે. બન્ને હાથે દોરડાનો આધાર પકડી પગને બન્ને બાજુના ભેડે વારાફરતી ઠેરવતા ઠેરવતા અધ્ધર ચડવાનું શરૂ તો કર્યું, પણ અરધે અંતરે આવતા પગ પાણી પાણી થઈ ગયા અને જાણે હમણાં હાથમાંથી દોરડું વછૂટી જશે તો ભૂંડાઇનું કૂવામાં પડી જવાશે એવું લાગવા માંડ્યું. મને અટકી પડેલો ભાળી જઈ રાઘવભાઇને ખ્યાલ આવી ગયો અને ઝટ ઝટ માચડી મોકલી, અરધે કૂવેથી માચડી માથે બેસારી બહાર ખેંચવો પડેલો. આમ તો હું કૂવામાં ચડ-ઉતર કરવા ટેવાયેલો હતો જ, પણ છેલા બાર-પંદર વરહથી પ્રેક્ટીસ છૂટી ગયેલી એ ખ્યાલમાંજ ન રહ્યું અને હું સાહસ કરી બેઠો અને કૂવામાં પડતાં પડતાં માંડ બચ્યો.
તડકો ટાઢ ચડાવી દે ! : સાલ બરાબર યાદ નથી. પણ આશરે પાંત્રીશેક વરસ પહેલાના એક મે મહિનાની ત્રીસમી તારીખે એટલો વરસાદ થયો કે ખેતરની બાજુમાં નીકળેલી કાળુભાર નદીમાં પૂર આવ્યું ! પડામાં તરેહ તપાસ્યોતો પૂરો આઠ આંગળ !! મગફળીની આગોતરી વાવણીનો આ ઉત્તમ સમય ગણાય. મગફળી ઉગવામાં ભેજ કહેવરાવશે તો મશીન કરી દેશું ચાલુ, નદીમાં પાણી તો ઘણું આવી ગયું છે માની, બળદોને ખાણ-નીરણથી બરાબર ધરવીને સાડા દસે નાખ્યા ધરમાં… તે હવે ૧૫ વિઘાનો પ્લોટ પૂરો વવાઇ રહે ત્યારે જ છૂટા કરાવા ધારી હાલો મારા બાપલા….કહી વાવણી કરી ચાલુ. પણ તડકો કહે મારું કામ ! ઉનાળાનો દિવસ, નીચેથી ભીની ભોંય અને ઉપરથી માથું ફાડી નાખે એવો તીખો તાપ ! વાતાવરણ જ આખું વરળ વરાળ થઈ ગયેલું. અગિયાર..બાર…એક અને બે વાગતાં પ્લોટ તો અરધ ઉપર વાવી દીધો પણ આખા અંગે ટાઢનું એક લખલખું એવું આવી ગયું કે શરીર આખું ધ્રુજવા લાગ્યું. ! શરૂઆતમાં શરીરે વળેલો પરસેવો તો ક્યા ગાયબ થઈ ગયો તે ખબર ન રહી અને ધોમ તડકે હું ઠાઢ્યે ઠુંઠવાવા લાગ્યો ! તડકાની બોલાતી જીંકનું શરીરે જાણે રીએકશન દેખાડ્યું. મારા કાકાને વાવણિયો સોંપી મારે સૂઇ જવું પડ્યું બોલો ! ગરમીમાં ટાઢ ચડાવી દે તેવો કોઇ ધંધો હોય તો આ ખેતીનો ધંધો છે મિત્રો !
જાનવર વગાડી બેસે : જો બુચકારી કે જાનવરને ખ્યાલ કરીને નીરણ નીરવા કે નીચે કોરું કરવા જેવા કામ કરવા તેની પાસે ન જઈએ તો ક્યારેક તેને ઓચિંતાનો ભય લાગી જતાં સ્વબચાવ અર્થે પાટું કે માથું મારી લે તો એમાં એના વાંક કરતા આપણો વાંક વધુ ગણાય. અને એવું જ વાડ્ય કે શેઢો ટપતાં ધ્યાન મોબાઇલનો નંબર મેળવવામાં હોય અને મગજ એની સાથે શી વાત કરવી એના ઘોડા ધડવામાં હોય અને સ્લીપર સોંસરવો થઈ, પગમાં કાંટો ખુંચી જાય તો ભૂલ કોની ગણાય ?
જંતુનાશક દવાનું ઝેર ચડી જાય : જ્યારે કપાસનું બીટી બીજ નહોતું આવ્યું ત્યારે કપાસમાં ઇયળો ખૂબ લાગતી, અને અમે એનાથી બચવા વહેલી સવારમાં કપાસમાં થાયોડાન-કાર્બારીલ જેવા પાવડર છાંટતા. એક દિવસ હું કોઇ કારણસર વાડીએ થોડોક મોડો-નવેક વાગ્યે પહોચ્યો તો અમારી વાડીના ઊભા મારગે બે જણાના બાવડા પકડી બીજા બે જણા ચાલ્યા આવે. નજીક આવતા જાણ્યું કે “બન્નેને પાવડર ચડ્યો છે.” મેં તો પાણી ભરેલી કુંડીમાં બન્નેને ઉતારી સાબુથી નવરાવ્યા. અને ગઢડા મારા મિત્ર ડો.કળથિયા સાહેબ પાસે લઈ જઈ, ઘણી સારવારના અંતે માંડ બચાવી શકેલો.
જોકે આને અજાણતા થયેલો અકસ્માત ન ગણાય. ખેતીમાં રહેલાં જોખમી કામોની સમજણ ન હોય તો પણ અકસ્માતોની કોઇ વાર આવી ઘટનાઓ ઘટી જતી હોય છે. આવું કેમ બન્યું તેની વિગત જાણી તો ખ્યાલ આવ્યો કે સવારનો પહોર હતો, હવામાં ઝાકળ ભળેલો હતો, એમાં સૂર્યના કિરણો પડતાં અને પાવડરની ઝણ્ય ઊડતાં મેઘધનુષ્ય જેવા રંગો દેખાયા ! વળી હોળી-ધૂળેટી આવી રહ્યા હતા નજીક, અને જુવાનિયા હતા રાજસ્થાની ! બધી વાતનો એવો જામી ગયો મેળ કે આ ઝેરના ફુવારા કરી રહ્યા છીએ એવું ગયું ભૂલાઇ અને “હોળી ખેલવાની મજા આવી ગઈ યાદ ” અને સામસામા પાવડરિયા પંપથી હોળી રમ્યા ! હવે તમે જ કહો, પછી ઝેર ચડ્યા વિના રહે ખરું ? ઝેરી દવા છાંટતાં ભભરાવતાં આવા કિસ્સા બનતા હોવાનું ઘણી વાર બની જતું હોય છે.
અંતે કહેવાનું એટલું કે : ખેતીનો તો ધંધો જ એવો છે ભાઇ કે ગમે ત્યારે ગમે તે ન થવાની થઈ બેસે. પણ કહેવત છે ને કે “ચેતતા નર સદા સુખી !” કામ તો આપણે કાયમ અને એ પણ આ બધા ખેતીના વિશિષ્ટ પાસાંઓની વચ્ચે અને સાથે જ કરતા રહેવાના હોઇ, એનાથી બી જવાની કે એનો ભય રાખવાની વાત હું નથી કરતો. પણ કામ ગમે તે કરતા હોઇએ, ત્યારે સંભવિત જોખમોનો ખ્યાલ મગજમાં રાખીએ તો જાજા ભાગે કશો વાંધો આવતો નથી પણ જો બધાં કામો પૂરી સાવચેતી અને સાધન-સમય પારખીને ન કરીએ તો આવી સામાન્ય શારીરિક હાનિ-ભાંગતૂટ ઉપરાંત જીવન નેવકું ટુંકાઇ જવા સુધીના અકસ્માતો બનતાં વાર લાગતી નથી, એ ખેતી કરનારા ખેડૂત, વ્યવસ્થાપક કે કામદાર કોઇના ખ્યાલ બહાર ન રહેવું જોઇએ મિત્રો !
રિચાર્ડની ગાડીમાં, અડધોએક કલાક અમે આમ પહાડોની અંદર અંદર ગયાં. સરસ ચણેલો રસ્તો ક્યારેક ખાસ્સો ઊંચો ચઢતો પણ ગયો. ચોકીદારના પહેરા સાથેના એક ગેટમાંથી પસાર થયા પછી અમે રિચાર્ડ અને હૅલનના વસવાટી પરિસરમાં આવી ગયાં. નૈસર્ગિક પરિસરની વચમાં આ ખૂબ સરસ આધુનિક ગોઠવણી હતી – ભરપુર લીલોતરી, સ્વચ્છ હવા, ને સાથે જ પાકા ચણેલા રસ્તા, સુંદર મકાનો.
આ વિશાળ રહેવાસી પરિસરમાં દોઢેક હજાર ઘરો બંધાઈ ગયાં છે, અને બીજો-ત્રીજો હિસ્સો ધીરે ધીરે શરૂ થતો જાય છે. ઘર નાનાં કે મોટાં હોય, છેક રસ્તા પર કે છુપાયેલાં હોય, પણ બધાં છેલ્લાં વીસ-પચીસ વર્ષ પહેલાં બનેલાં છે. દરેક પ્લૉટ ફૂલછોડ અને મોટાં જૂનાં વૃક્ષોથી સજ્જ છે. સમયને અનુરૂપ સગવડોની સાથે સાથે કુદરતનો ખ્યાલ પણ રખાયેલો છે.
રિચાર્ડ અને હૅલનનું ઘર નાનું અને સરસ હતું. પાછળ સળંગ વરંડો હતો, જ્યાં સળંગ જાળી નંખાવેલી, એટલે હવા-ઉજાસ આવે, માખી-મચ્છરો આવી ના શકે, અને પાષાણયુક્ત પાહાડો દેખાયા કરે. આ કારણે જે બહાર હતું તે હંમેશાં આંખોની સામે રહેતું હતું.
એ બંનેને બહાર કામ કરવું ગમે, એટલે એમણે બધે ફૂલો ઉગાડેલાં, જાતજાતનાં ફળોનાં ઝાડ રોપેલાં, રસોઇમાં વપરાય તેવાં શાક અને ઔષધિ વાવેલાં. પનામાની સ્થાનિક ઇન્ડિયન જાતિના બે યુવાનોને માળી તરીકે રાખેલા, છતાં જાતે પણ ઘણું કરે. ગમતી જીવન-રીતિ માટે અમેરીકાથી દૂરનું આ સ્થાન એમણે પસંદ કરેલું.
એમનાં જેવાં અનેક દંપતી અન્ય પશ્ચિમી દેશોમાંથી આવીને અહીં સ્થાયી થયેલાં છે. એ બધાં સહેલાઈથી મિત્રો બની જતાં હોય છે, અને સ્વીમિન્ગ, હાઇકિન્ગ, ક્લાઇમ્બિન્ગ જેવી પ્રવૃત્તિઓ સાથે મળીને કરતાં હોય છે. જેમને ઑપૅરા અને આર્ટનો શોખ હોય તેવાં યુગલ એક-બે દિવસ પનામા શહેરમાં ગાળતાં હોય છે.
આમ તો, જે જીવન છોડીને આવ્યાં હોય તેવું જ જીવન અહીં જીવતાં હોય. ફેર એટલો, કે અહીં ટૅન્શન ઓછાં હોય, સમયની ગતિ ધીમી હોય, અને ખર્ચા પણ વૅસ્ટર્ન દેશો કરતાં એક-તૃતિયાંશ જેટલા ઓછા હોય છે. છતાં, સાવ જુદી જગ્યાને અપનાવવા માટેની સજ્જતા અને ધીરજ હોય તો જ સુખેથી રહેવાય.
રિચાર્ડ અને હૅલન રોજ સવારે ટૅલિવિઝન પર અમેરિકાના સમાચાર સાંભળી લેતાં. તે પછી આખો વખત એ બંને આ જ સ્થાનમાં ઓતપ્રોત રહેતાં. બંને સ્થાનિક એવી સ્પૅનિશ ભાષા શીખવાનો, બોલવાનો પ્રયત્ન કરતાં રહેતાં હતાં. ભાષાનું સૂત્ર હંમેશાં બહુ મજબૂત પુરવાર થતું હોય છે.
માળી તરીકે રાખેલા યુવાનો સાથે બંને સહૃદયતા દાખવતાં, સ્પૅનિશમાં વાતો કરતાં, એમને ખાવાનું અને કોકાકોલા જેવાં પીણાં આપતાં, અને બને તો એમને થોડે સુધી ગાડીમાં મૂકી પણ આવતાં. રિચાર્ડે મને કહેલું, કે એ લોકો બહુ દૂર રહેતા હતા. આવી તળ-જાતિઓનાં ગામો પહાડોના ઢોળાવોની વચમાં, ખીણોની વચ્ચેના નાના મેદાનોમાં વસેલાં હોય છે. ત્યાં વીજળી અને પાણીના નળ હજી પણ આવ્યાં નથી. સૂરજ ઢળે એટલે અંધારું, અને પાણી માટે નદી હોય ત્યાં રોજ જવાનું.
હું હતી તે દિવસે, બાગનું કામ પૂરું થયું એટલે રિચાર્ડ એ યુવાનોને ગાડીમાં થોડા માઇલો સુધી મૂકવા ગયા. હું પણ સાથે ગઈ. મને પર્વતના ઊંડાણમાં જવાની બીજી તક ક્યાં મળવાની? એમને ઉતાર્યા તે પછી પણ એ યુવાનોનું એક-દોઢ કલાકનું ચાલવાનું બાકી હતું. ને ત્યારે બંને પોતાને ઘેર પહોંચવાના. ઘણી મહેનતની અને તકલીફની જિંદગી છે તળ-લોકોની. ના સંપૂર્ણ રીતે ટ્રૅડિશનલ રહેવાય, ને ના સંપૂર્ણ રીતે મૉડર્ન થવાય.
આપણાં ઘરોમાં હોય તેવી મહેમાનગીરી અહીં નહતી. શું ખાશો, શું પીશો, એવું નહીં, પણ રિચાર્ડ અને હૅલન ત્યાં જતાંની સાથે મને બહાર ચાલવા લઈ ગયેલાં. ઢોળાવો સતત ઉપર અને નીચે થતા રહેતા હતા. પછી સાંકડા પથ્થરોની બનેલી સીડી આવી. સારું હતું કે વરસાદ પડતો અટકેલો. બધા પથ્થર લીલને કારણે લીલા બનેલા હતા. પીસ્તા જેવો હલકો રંગ હતો એમનો. આસપાસ સર્વત્ર એક લીલો જ રંગ હતો.
બસો જેટલાં પગથિયાં હશે. થોડાં તૂટેલાં, ને થોડાં લપસણાં પણ ખરાં. ને હું તો સાધારણ ચાલવાનાં ચંપલ પહેરીને ગયેલી. સાચવીને ચાલી, એટલે વાંધો ના આવ્યો. બહુ આકરું ના હોય તેવું આઉટિન્ગ જ પસંદ કરેલું રિચાર્ડે. અલબત્ત, પેલાં બસો પગથિયાં ઊતરેલાં તે ચઢવાનાં પણ આવ્યાં જ.
દૂર હતાં ત્યારથી જ પાણીનું ગર્જન સંભળાવા માંડેલું. પછી અમને એ ધોધ દેખાયો. ત્રણ-ચાર પાતળી સેરમાં પાણી પડતું હતું. જે મુખ્ય પ્રપાત હતો તે બીજા ધોધની જેમ પછડાતો નહતો, પણ પાષાણો ઉપર સરકતો, વળાંક લેતો જતો હતો. જુદું સ્વરૂપ હતું એનું. છતાં, એનો અવાજ ઓછો નહતો.
એ નાની નદી પર લાકડાંનો એક પુલ બાંધેલો. અમે એના પર ચાલ્યાં ત્યારે એ બહુ હાલતો, ને થથરતો રહ્યો. સારું હતું, કે એનાં પાટિયાં પર પૂરતા જાડા વાયર વીંટાળેલા હતા, ને એ તૂટી પડવાનો ભય નહતો. એના પર ઊભાં રહીને પાણીનો ગર્જન-રવ ક્યાંય સુધી સાંભળ્યો.
જંગલની લીલી ગીચતાની અંદર આવી કેડીઓ, ને નાનકડી નદીઓ, અને ધોધ અનેક છે. અત્યંત વિશાળ છે આ આખો વિસ્તાર. મન વારંવાર પૂછ્યા કરે, શું જોવું?, શું કહેવું?, શું અનુભવવું? ને પછી થાય, આહા, વર્ણન પણ શું કરવું કુદરતના આવા મહિમ્નનું.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
સંસ્કાર, સંસ્કૃતિ, કળા, ધર્મ જેવી બાબતો રાજકારણીઓ વ્યાખ્યાયિત કરવા માંડે ત્યારે આ વિદ્યાઓની અધોગતિ થઈ એમ કહી શકાય. રાજકારણીઓ ઊપરાંત લાખોની સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા, ‘સંત’ તરીકે ઓળખાતા લોકોનો પણ આમા સમાવેશ થાય. સંસ્કાર, સંસ્કૃતિ અને કળા ખરેખર તો અમૂર્ત બાબત છે, જે પોતાના સમયની અસરોને ઝીલે છે. પણ તેમાં રાજકારણીઓનો પ્રવેશ થાય એટલે પત્યું! સત્તા ટકાવી રાખવાના પોતાના ટૂંકા અને એક માત્ર સ્વાર્થ ખાતર રાજકારણીઓ આ બાબતોને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે. મોટા ભાગના લોકો આ ચાલમાં આવી જાય છે, અને તેઓ પણ પોતાની સમજણને કોરાણે મૂકીને રાજકારણીઓ દ્વારા પઢાવાયેલા પાઠ રટવા લાગે છે. હકીકતમાં રાજકારણીઓને મન આ મુદ્દા પોતાની ખુરશી ટકાવી રાખવાના ગતકડાંથી વિશેષ કશું નથી હોતું. આના માટેનું સૌથી હાથવગું માધ્યમ છે શિક્ષણ. દરેક શાસનકાળમાં પાઠ્યપુસ્તકો જુદી જુદી રીતે લખાતાં રહ્યાં છે, જેનો હેતુ પણ જુદો જુદો હોય છે.
આ બાબતનું વરવું, અને વધુ એક ઉદાહરણ જોવા મળ્યું. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ(એન.સી.ઈ.આર.ટી.)ના નવમા ધોરણના કળા અંગેના પાઠ્યપુસ્તકમાં મોહેં-જો-ડેરોમાંથી મળી આવેલી, ‘નર્તકી’ની જગવિખ્યાત પ્રતિમાનો ઊલ્લેખ છે, સાથે તેની છબિ પણ હોય એ સ્વાભાવિક છે. કાંસાની બનેલી આ અસલ પ્રતિમા દિલ્હીસ્થિત રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સંઘરાયેલી છે. તેનો સમયગાળો ઈ.સ.પૂર્વે ૨૩૦૦થી ઈ. સ. પૂર્વે ૧૭૫૦નો હોવાનું મનાય છે, અને તે સિંધુ સંસ્કૃતિની ઝલક આપતી મહત્ત્વની કળાકૃતિ છે. ૧૯૨૬માં તે મળી આવી હતી. કળાના ઈતિહાસમાં તેના ઊલ્લેખ વિના ઈતિહાસ અધૂરો લેખાય, આથી તે વરસોથી પાઠ્યપુસ્તકમાં સ્થાન પામે છે.
કાઉન્સિલના સભ્યોને અચાનક, આ વરસે લાગ્યું કે આ તો નગ્નતા કહેવાય, અને નવમા ધોરણનાં બાળકોને એનાથી દૂર રાખવા જોઈએ. આથી આ પ્રતિમાની છબિના ધડના ભાગને ઘેરો કરીને એવો અસ્પષ્ટ કરી દેવામાં આવ્યો કે એ સપાટ જ જણાય. હા, આ પ્રતિમા એક નગ્ન યુવતીની અવશ્ય છે, અને સૌ કોઈ જાણે છે એમ શિલ્પકળામાં અર્ધનગ્ન કે નગ્ન માનવશરીરનું શિલ્પ હોવું તદ્દન સામાન્ય બાબત છે, કારણ કે શરીરનાં વિવિધ અંગો થકી શિલ્પકળાનાં વિવિધ આયામોને શિલ્પમાં ઊજાગર કરવાની શિલ્પકારને તક મળે છે. આ કોઈ સંશોધન કે અભિપ્રાય નથી, બલકે સર્વસામાન્ય હકીકત, પદ્ધતિ અને પ્રણાલિ છે. આને પગલે ઊહાપોહ થયો એટલે ‘યોગ્ય તપાસ અને કાર્યવાહી’નો આદેશ અપાયો. ‘નિષ્ણાતો’ ના અભિપ્રાય લેવાયા અને એ પછી મૂળ છબિને પાછી મૂકવાનો આદેશ અપાયો. પુસ્તકોનું મુદ્રણ થઈ ગયું છે, આથી હવે તેની ડીજીટલ આવૃત્તિમાં સુધારો પહેલો કરવામાં આવશે અને એ પછી ફેરફાર કરાયેલી આવૃત્તિમાં.
એવું નથી કે સંસ્કારના આવા હુમલા પહેલવહેલા છે. કોઈ પણ બાબતને નગ્નતાનું લેબલ મારવાની ‘સંસ્કારી’ લ્હાયમાં આવા સાંસ્કૃતિક રખેવાળો નગ્નતા અને અશ્લિલતા વચ્ચેનો ભેદ ભૂલી જાય છે. સૌથી મોટી વક્રતા એ છે કે જે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની તેઓ દુહાઈ આપીને આમ કરે છે, એ જ પ્રાચીન સંસ્કૃતિની આ ઓળખ અને અભિન્ન હિસ્સો છે. આવા ‘સંસ્કારી’ હુમલા આજકાલના નથી. ‘સભ્ય અને સંસ્કારી’ દેખાવાની હોડમાં મોટે ભાગે લોકો સામાન્ય બુદ્ધિને બાજુએ મૂકી દે છે. એક સમયે ખજૂરાહોનાં શિવમંદીરની બહાર આવેલાં, કળાના ઊત્તમ નમૂના જેવાં ભોગશિલ્પોને નષ્ટ કરી દેવાનો પ્રસ્તાવ કેટલાક ‘સંસ્કારી’ લોકોએ ગાંધીજી સમક્ષ મૂકેલો. ગાંધીજીએ એ બાબતે ખ્યાતનામ ચિત્રકાર, શાંતિનિકેતનના કલાભવનના આચાર્ય અને કળામર્મજ્ઞ નંદલાલ બોઝનો આ બાબતે અભિપ્રાય મેળવવા સૂચવેલું, જે સ્વાભાવિકપણે જ આ શિલ્પોને જાળવવાની તરફેણમાં હતો.
કશી સેન્સરશીપ વિનાનાં ઓ.ટી.ટી.(ઓવર ધ ટોપ) માધ્યમો પરથી પ્રસારિત કરાતી વિવિધ ફિલ્મો કે ધારાવાહિકોમાં ગાળ હવે સાવ સામાન્ય તત્ત્વ બની ગયું છે. મહિલાઓનું વિવિધ રીતે થઈ રહેલું ઉત્પીડન અને એ કરનારાઓને મળી રહેલો રાજકીય આશ્રય એટલો ખુલ્લેઆમ અને રોજિંદી ઘટના છે કે એની કશી નવાઈ રહી નથી. જાતીય રીતે વિકૃત લોકોનાં નામોલ્લેખ ધરાવતા એપસ્ટિન ફાઈલ્સ જેવા નામોશીભર્યા દસ્તાવેજમાં દેશના મંત્રીનાં નામ આવે એ સ્વીકૃત છે, પણ આપણી ખરેખરી પ્રાચીન સભ્યતામાં સંસ્કારના આ પૂજારીઓને ‘નગ્નતા’ જણાય છે.
નગ્નતા ખરેખર તો મનની હોય છે, અને જાહેરમાં પોતાની ‘સંસ્કારી’ છબિ ઊપસાવવા માટે તેનું દમન કરવામાં આવે ત્યારે તે આવા માર્ગે બહાર આવતી હોય છે. દુર્ભાગ્યે સંસ્કારિતાના આવા રખેવાળો એવા રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે, જે આવી બાબતો માટે એકધાર્યું, સળંગ, બદનામ વલણ ધરાવે છે. જે દેશમાં પુરવાર થયેલા બળાત્કારીઓની સજા માફ થઈ જાય, તેમનું છડેચોક સ્વાગત થાય, અમુક કિસ્સામાં તો તે પૂજાય ત્યાં શિક્ષણના ક્ષેત્રે પેધેલાં આવાં સરકારી પ્યાદાં નગ્નતાને છાવરવાને નામે આવું હાસ્યાસ્પદ કૃત્ય કરાવે એ વિચિત્ર ન કહેવાય!
જનતા તરીકે આપણા કેવા ખરાબ દિવસો આવી ગયા કહેવાય કે હવે રાજકારણીઓ આપણને સંસ્કારની વ્યાખ્યા આપે, સંસ્કૃતિ કોને કહેવાય એ જણાવે, આપણા રાષ્ટ્રપ્રેમને તેઓ પ્રમાણિત કરે અને કળાનાં ધોરણો પણ તેઓ જ નિર્ધારીત કરે. શિક્ષણની ઘોર ખોદીને અટકે નહીં, પણ તેને છેક સાતમા પાતાળ સુધી લઈ જાય અને સતત નીચે ઊતારતા જાય. આ બધું સાતત્યપૂર્વક, તીવ્રતાપૂર્વક થઈ રહ્યું છે અને આપણે રાજકારણીઓએ વ્યાખ્યાયિત કરી આપેલી શબ્દાવલિઓના નવા અર્થોને હોંશે હોંશે સ્વીકારી રહ્યા છીએ. એટલે વિચારવાનું આપણે છે કે શું આપણે આને જ લાયક છીએ? પેલી જાણીતી ઊક્તિ અનુસાર, ‘આપણે જેને લાયક હોઈએ એવા જ રાજકારણીઓ આપણને મળતા હોય છે.’ સંસ્કાર, સંસ્કૃતિ, ધર્મ કે કળાની, કોઈ પણ રાજકારણી કે રાજકીય પક્ષે કરેલી વ્યાખ્યામાં હોંકારો ભણતાં પહેલાં આ સત્ય યાદ રાખવા જેવું છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૯-૭– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
‘ખૂલી આંખના સપના’ અને ‘સમી સાંજના સપના’ નામના બે ગઝલ સંગ્રહ તથા ‘અધૂરાં સપનાં’ નામની નોવેલની લેખિકા સપના સ્વપ્નલોક સમાન અમેરીકાના કેલિફોર્નિઆમાં એમના પતિ શરીફ સાથે વસે છે.
તેમનો જન્મ મહુવામાં ૧૯૫૩માં થયો હતો. કેમેસ્ટ્રીના સ્નાતક સપનાબેનને નાનપણથી લેખનકાર્યમાં રસ હતો. કલાપીના કાવ્યો એમના હ્રદયમાં સ્પંદનો જગાડી જતા.
૧૯૭૭માં અમેરિકા આવ્યા પછી બેંકમાં જોબ અને ગૃહિણી તરીકેની ફરજોને કારણે વર્ષો સુધી કાગળ કલમ હાથમાં લઈ શક્યા નહી. ૨૦૧૦માં ઉદાસીના વાદળોને વિખેરવા માટે કલમ હાથમાં લીધી અને હ્રદયમાંથી પ્રેમાનંદ ફરી વહેવા લાગ્યો. છાપાઓમાં અને સાહિત્યિક સંસ્થાઓમાં એમની રચનાઓને દાદ મળવા લાગી. સાહિત્યિક ક્ષેત્રે વધુ પ્રવૃત થઈ દેશ-વિદેશના કવિ સંમેલનોમાં પણ તેમણે સક્રિય રસ લીધો. પારિતોષિકો અને પ્રમાણપત્રો દ્વારા તેઓ પ્રોત્સાહિત થતા રહ્યા.
લેખન અને વાંચનને તેઓ પ્રસન્નતાનું ઝરણું અને માનસિક ઉપચાર માને છે. પ્રવાસ એમનો શોખ છે અને તેઓએ લગભગ ૩૨ દેશોનો પ્રવાસ કર્યો છે. www.kavyadhara.com બ્લોગ પર એમને વધુ વાંચી શકાશે.
અકબંધ કોઈ કિતાબમાં વર્ષોથી સાચવી રાખેલા સૂકા ગુલાબની જેમ સાચવી રાખેલી આ સ્મૃતિઓ હજુ સુવાસિત છે! જ્યારે કોઈ શાંત જળમાં પથ્થર ફેંકે તો વમળ ઉઠીને કિનારાને અડી જાય છે તેમ મારા શાંત માનસપટ પર વિચારરૂપી પથ્થર ફેંકે તો સ્મૃતિઓ કઠપૂતળી બનીને સામે નાચવા લાગે છે. સ્મૃતિ કષ્ટદાયક પણ હોય અને પ્રેમદાયક પણ હોય! આ સ્મૃતિ આપણને જીવનભર એ રીતે વળગીને રહે છે જે રીતે વૃક્ષને વેલી વીંટળાયેલી રહે છે . જો વૃક્ષથી વેલ જુદી કરવામાં આવે તો મરી જાય! આજ ફરી એકવાર હું અતીતની સફર કરવા જાઉં છું! ચાલો, મારી સાથે ભાવનગરથી લંબાઈને તળાજામાંથી પસાર થઇ માલણ નદીને પાર કરીને બંને બાજુ જટાયુ જેવી નાળિયેરીની હારમાળામાંથી કોઈ કોઈ તપસ્વી જેવો પસાર થતો એ રસ્તો તમને મહુવા સુધી પહોંચાડી દેશે!
મહુવા એટલે સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાય! ત્રણ બાજુ દરિયો અને એક બાજુ રસ્તો! ભવાની જાઓ કે દીવાદાંડી અથવા બંદર! એકજ દરિઓ પણ જુદાં જુદાં રૂપ એના! બંદરમાં એ શાંત ઋષિમુનિ જેવો, જેમાં પડીને અમે ખૂબ નાહ્યાં છીએ! કિનારા આગળ પાણી છીછરાં! અમેરિકાના બીચ જેવો! દીવાદાંડીનો ઉછાંછળો! દીવાદાંડી ત્યાં એટલે જ રાખવામાં આવી હશે. કારણકે ત્યાંનો દરિયો પથરાળ. આજુબાજુ મોટાં મોટાં પથ્થરથી ઘેરાયેલો! એણે પથ્થર સાથે માથાં પછાડીનેઅદભૂત કોતરકામ કર્યું છે, એવું લાગે કે હમણાં પથ્થર ગીત ગાઈ ઉઠશે! ભવાનીમાં મોટાં મોટાં રેતીના ઢગલાં છે!અહીં ભવાનીનું મંદિર છે. અહીં દરિયો ખૂબ ઊંડો છે અને અંદર દલદલ પણ છે.
એકવાર હું, મારી બહેન શીરીન અને મારા કાકાની દીકરી નિલોફર ભવાનીનાં દલદલમાં ઉતરી પડયાં હતાં. શીરીને નીલોફરને તેડેલી હતી. અમે ભવાની ફરવા ગયેલાં. દૂર ફતુમાબેન અને એના ફિઆન્સે પ્રેમગોષ્ઠી કરી રહ્યાં હતાં. અમે હાથ હલાવી હલાવીને એમને બોલાવવાં પ્રયત્ન કરતાં હતાં. બંને પ્રેમમગ્ન હતાં. અંતે અમે બૂમો પાડીવાં લાગ્યાં તો બંને દોડીને આવ્યાં. ફતુમાબેને સાડી પહેરી હતી. તરત એમણે સાડી કાઢીને પથ્થર સાથે વીંટાળીને એક છેડો અમારાં તરફ ફેંક્યો, બીજો પકડી રાખ્યો. સાડી ને પકડીને અમે બહાર નીકળી ગયાં . અમે લગભગ ઢીંચણ સુધી દલદલમાં ખૂંપી ગયાં હતાં. આમ છતાં દરિયો મને ખૂબ વહાલો છે. શરદપૂનમમાં ઘણી રાતો અમે દરિયા કિનારે વિતાવી છે, આખી રાત જાગીને દૂધપૌંઆ ચાંદનીમાં રાખીને રમત પણ રમ્યાં છીએ!
આજ ના જાણે કેમ મહુવાની નાની ગલીયોમાં મન દોડી દોડીને જાય છે, મને પણ સાથે ઘસડી જાય છે. દાદા ની હવેલીમાં એ ભાગીને પહોંચી જાય છે. ધોબીવાડની સાંકડી શેરીમાં દાદાની ત્રણ માળની હવેલી હતી. મારું બાળપણ આ હવેલીમાં જ વીત્યું. આ નાનકડી શેરીમાં મોટે ભાગે ધોબીઓ રહેતાં હતાં. ઘર માલણ નદીના તટ થી બહું દૂર ના હતું. તેથી નદીમાં પૂર આવે તો પાણી હવેલીના ડેલામાં પણ આવી જતું અને એમાં સાપ માછલી જેવા નાના પાણીમાં રહેતાં જાનવર પણ આવી જતાં. બા કુરાન પડીને આ પાણી ઉતરવાની દુઆ કરતાં .
મારો જ્ન્મ એક મુસલમાન કુટુંબમા મહુવામાં થયેલો. પરિવાર ખૂબ સુખી હતું. જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો નથી. અમે છ બહેનો અને બે ભાઈ હતાં. પપ્પા બ્રીટિશ જમાનામાં મેટ્રિક સુધી ભણ્યા હતા એટલે ઈંગ્લીશ સરસ બોલતા. મમ્મી વિજપડી ગામનાં હતાં એમણે શિક્ષણ લીધું ના હતું, પણ હંમેશા અમને શિક્ષણ માટે પ્રેરણા આપતાં!
હું પહેલા ધોરણમાં હતી ત્યારે ભણવાં જવું મને ના ગમે, કારણકે જેઠા સાહેબ ખૂબ ગુસ્સાવાળા હતા, કાંઈ ના આવડે તો ધડ દઈને થપાટ મારી દે. હું ફક્ત પાંચ કે છ વર્ષની હોઈશ. મારા નાજુક ગાલ પર એમની આંગળીના નિશાન પડી જતા. શાળા ઘરની નજીક હતી. શાળા અને ઘરની વચ્ચે એક ખંડેર હતું. તો હું સ્કૂલે જવાને બદલે ખંડેરમાં બેસી રહેતી અને સ્કૂલ પૂરી થાય એટલે ઘરે આવી જતી! થોડા દિવસ આવું ચાલ્યું, પણ એક દિવસ મારી મોટી બહેન ફતુમા મને જોઈ ગઈ અને મારી ધુલાઈ થઇ. મેં પણ રડતાં રડતાં કહી દીધું કે મને જેઠા સર મારે છે. પપ્પા ધુંઆફુંઆ થતા શાળામા ગયા અને જેઠા સરની ધૂળ કાઢી નાખી. આ પ્રસંગે અમેરિકામાં કિન્ડરગાર્ડનમાં ભણતાં ભૂલકાં યાદ આવી ગયાં. કેટલા પ્રેમથી શિક્ષકો બાળકોને સાચવે છે.
દાદાની હવેલીમાં ત્રેવીશ ઓરડા અને આઠ બાથરૂમ હતા. દાદાને ઓઇલમીલ હતી. ડુંગળીના મેડા પણ ભરતા! દાદાની સાથે મારા કાકા બરાબર જામી ગયા હતા. પણ પપ્પાને આવા કોઈ ધંધામાં રસ ના હતો. એમને ફિલ્મ દુનિયામાં રસ હતો. દાદાની સાથે એમનો ખટરાગ હંમેશા ચાલતો. એક સમય આવ્યો હતો ત્યારે પપ્પા મુંબઈ જતા રહ્યા હતા અને મેહબૂબ સ્ટુડિયોમાં કામ પણ કર્યું હતું. ત્યાં જઈને રેડિયો રિપેરનો કોર્સ પણ કર્યો. ઘરે આવ્યા પછી પપ્પાએ રેડિયાની દુકાન નાખેલી જે મહુવામા ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. પપ્પા મમુભાઈ રેડિયાવાળા તરીકે અને અમે રેડિયાવાળાની દીકરીઓ તરીકે પ્રખ્યાત થઈ ગયાં. દાદા સાથે અણબનાવ થતા એ જ હવેલીના નીચેના માળ પર અમે રહેવા આવી ગયાં
દાદાએ પપ્પાને ખાસ કોઈ વસ્તુ આપી ન હતી. દાદાનો પ્રેમ હંમેશા કાકા પર વધારે હતો. કદાચ દાદાના એ કહ્યાગરા દીકરા હતા. અમે છ બહેનો હતી. એક પછી એક સુવાવડમાંથી પસાર થતી બાને દીકરાની આશા હતી અને છેવટે સાદિકનો જન્મ થયો. એ અમારા માટે ખૂબ ખુશીની વાત હતી. ઘરમાં ભાઈ આવ્યો હતો. અમે બહેનો તો ભાઈને તેડી તેડીને ફરીએ, અને ખૂબ લાડ કરાવીએ. પછી બે વરસમાં બીજો ભાઈ મહેબૂબ પણ આવ્યો. રેડિયાની દુકાનમાં બહુ મોટી આવક ના હતી. કાકા ઓઇલમીલની બધી આવક રાખતા અને ખૂબ જાહોજલાલીથી રહેતા. પપ્પાની વાત યાદ કરતા એક વાત યાદ આવી, પપ્પાને કબૂતરને દાણાં આપવા ખૂબ ગમતા અને હું એમના ખોળામાં ફ્રોક પહેરીને પપ્પાની વાટકીમાંથી મારી નાની નાની મુઠ્ઠીમાં દાણાં લઈને કબૂતરને નાખતી. કદાચ અત્યારે પક્ષી પ્રત્યેનો પ્રેમ એ નાની મુઠ્ઠીમાંથી આવ્યો હશે.
પપ્પા અમને પાર્ટીશનની વાત કરતા. મારું મોસાળ વીજપડી ગામમાં હતું. એ ખૂબ નાનું ખેતી પ્રધાન ગામ હતું. મારા નાના એ ગામના મુખી જેવા હતા. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે બ્રિટિશર્સ , મહમદઅલી ઝીણા અને જવાહરલાલે મળીને ભારતના ભાગલાં પાડવાનું નક્કી થયું. ભારતમાતાની છાતી પર લોહીથી લકીર દોરવામાં આવી! આ ભારત અને આ પાકિસ્તાન! નેતાઓએ જે નિર્ણય લીધો તે લીધો,પણ એ નિર્ણયને લીધે કેટલા લોકોને વતન છોડવું પડ્યું. કેટલા પોતાના વ્હાલાઓથી દૂર થઇ ગયાં! પાર્ટીશન સમયે ટ્રેન ભરીને લાશો ભારતથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી ભારત આવતી! મિલિયન્સ લોકો મરી ગયાં . મિલિયન્સ ઘરબાર વગરના થયાં! 75000 વધારે સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો. નાના નાના બાળકોની લાશો રસ્તા પર રઝળતી મળી આવતી! ન્યુયોર્ક ટાઈમ્સ કહે છે કે આવું ખુનારેજીવાળું પાર્ટીશન ક્યાંય જોયું નથી અને જોવા મળશે નહીં! મારા નાના અને એમના ઘરનાએ ભારત છોડી પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. મારી બાના લગ્ન થઇ ગયા હતા, તેથી બા મહુવામાં રહી ગયાં. પપ્પાએ ભારતમાં જ રહેવાનું વિચાર્યું. કેટલા સમય સુધી એ લોકો હિન્દુની જેમ રહ્યાં પોતાની ઓળખ છૂપાવીને ! અત્યારે એવું લાગે છે કે આ ધર્મના વાડા શા માટે? “ના તેરા ખુદા કોઈ ઔર હૈ, ના મેરા ખુદા કોઈ ઔર હૈ , યે જો રાસ્તે હૈ જુદાં જુદાં, યે મામલા કોઈ ઔર હૈ! બેસતાં વર્ષને દિવસે બા નવી સાડી પહેરે અને જાતજાતની મીઠાઈ મંગાવે , અમે આંગણામાં રંગોળી બનાવીએ ,ફટાકડા ફોડીએ અને આનંદમંગળ કરીએ. અડોશપડોશની વહુઓ બાને પગે લાગી આશીર્વાદ લે અને બા બધાને પૈસા આપે! આવો પ્રેમભાવ અમારી વચ્ચે હતો! પણ આ ઝેર ક્યાંથી આવ્યું હશે?
૧૯૬૪ માં પપ્પા અમને પાકિસ્તાન લઈ ગયેલા. બા નાના તથા નાનીને ખૂબ યાદ કરે એટલે પપ્પાએ અમને બધાં ને પાકિસ્તાન લઈ જવાનું નક્કી કર્યુ. દાદાએ ખૂબ વિરોધ કર્યો પણ પપ્પા મક્કમ હતા. અમે દરિયા માર્ગે એક સ્ટીમરમાં ગયાં હતાં. તોફાની દરિયામાં થી પસાર થઈ અમે ત્રણ દિવસની મુસાફરી પછી કરાચી પહોંચ્યા હતાં. રસ્તામાં વીજળી, ધોધમાર વરસાદ પણ પડેલો. જુના જમાનાની એ સ્ટીમર ડૂબતાં ડૂબતાં બચી હતી. મને ત્યાં જરાય પણ ગમતું ના હતું. વતન યાદ આવતું હતું. બે મહિના રહી અમે ભારત પાછાં ફર્યા. મારી એક શિક્ષિકાએ મને મહેણું માર્યુ, “તું પાકિસ્તાની છે, તું તારા દેશમાં જતી રહે!” મને ખૂબ દુઃખ થયું કે મારું વતન ભારત છે મને પાકિસ્તાની કેમ કહી? હું ખૂબ રડી! પ્રિન્સીપાલ પાસે જઈને ફરિયાદ કરી કે ફ્લાણા બહેન મને પાકિસ્તાની કહે છે. પ્રિન્સીપાલે શિક્ષીકાને બોલાવીને ખૂબ ધમકાવ્યાં પછી કદી એમણે મને પાકિસ્તાની કહી નહીં. હું ભારતીય છું અને મને ભારતીય હોવાનો ગર્વ છે.મને બાળપણથી જ વતન પ્રત્યે ખૂબ પ્રેમ! દેશભક્તિના ગીતો ખૂબ ગમે અને હજુ પણ મારા રુંવાડા ઊભા કરી દે છે.
માટીતણીસોડમભળીછેશ્વાસમાં, આવીવતનથીદૂરકારાવાસમાં.
હું આઠમાં ધોરણમાં આવી ત્યારે મને એન્જીનીયર બનવાનો શોખ જાગેલો. તેથી હું જે.પી. હાઈસ્કૂલમાં દાખલ થઇ. સ્કૂલવાળા મને લેવા તૈયાર જ હતા નહિ, કારણકે એ ફક્ત છોકરાઓની સ્કૂલ હતી. તેર થી ચૌદ વર્ષની હોઈશ અને હું સ્કૂલના પ્રિન્સિપાલ સાથે ઝગડી પડી કે મારે ટેકનિકલ માં દાખલ થવું છે, તમે મને ના શા માટે કહો છો? સ્ત્રી પુરુષના સમાન હક માટે એ પહેલું પગથિયું હતું. મારું લોહી ઉકળી આવ્યું. અંતે પ્રિન્સિપાલ માની ગયા. પચાસ છોકરાની વચ્ચે હું એકલી છોકરી. જીદ કરીને હું કલાસમાં આવી તો ગઈ, પણ મને મજા આવતી નહોતી. કારણકે રીસેસમાં હું એકલી પડતી, લેડીઝ વોશરૂમ ના હતું. એટલે બાથરૂમ જવાનો પણ પ્રોબ્લેમ થઈ ગયો. હવે શું કરું? મારા મોટાબહેન ફતુમાબેન ને લઈને પ્રિન્સિપાલની ઓફિસમાં ગઈ અને ફરીથી એમ.એન. સ્કૂલમાં ટ્રાન્સફર લીધી. ત્યારે મને લાગેલું કે ભલે હું કન્યાશાળામાં પાછી આવી ગઈ પણ મેં છોકરાની શાળામા દાખલો તો લીધોને! મારો હક હતો તે મેં લીધો ભલે હું ત્યાંના વાતાવરણને હું અનુકૂળ ના થઇ શકી ને મારું શિક્ષણ પૂરું ના કરી શકી!
એકબંગલાબનેન્યારા!
માધ્યામીક શાળા એમ.એન. હાઈસ્કુલમાં કરી, મેં ૧૯૭૧ માં મેટ્રિક પાસ કર્યુ. કાકા સ્ટેશન રોડ પર રહેવા જતા રહ્યા. હવે બાપાજીએ હવેલી વેચી નાખવાનું નક્કી કર્યું. બાપાજીએ પપ્પાને નૂતનનગરમાં એક જગ્યા અપાવી દીધી જ્યાં પપ્પાએ 299 બંગલો બનાવ્યો.
કૉલેજકાળમાં મારા સપનાએ અર્ધ ખીલેલી કળીની જેમ આંખો ખોલી હતી. સપનાની જિંદગી એટલે સપનામાં વિહરતી સપનામાં મહાલતી સપનામાં જીવતી એક કલ્પનાની દુનિયા! કૉલેજના પહેલા વર્ષમાં આવી ત્યારે નવા બંગલામાં રહેવાં ગયાં હતાં, ત્યારે અમે ત્રણ જ બહેનો પપ્પાની સાથે હતી. ત્રણનાં લગ્ન થઇ ગયેલા. પપ્પા અમને ત્રણ ને પૂછીને દરેક વસ્તુની પસંદગી કરે! જેમકે ક્યાં રૂમમાં કઈ લાદી નાખવી, રસોડું કેવું બનાવવું, ડાઇનિંગ ટેબલ કેવો જોઈએ, બગીચામાં ક્યાં ફૂલ નાખવા. ક્યાં ફળ વાવવાં! આ બંગલો એમની જાન બની ગયો હતો. એક સપનું બની ગયો હતો. ત્રણ બેડરૂમ, એક ડ્રોઇંગ રૂમ, ડાઇનિંગ રૂમ, કિચન, વરંડા, હોલવે અને ઉપર અગાશી અને એક સ્ટોર રૂમ!! બસ આ ઘરમાં પપ્પાનો આખો સંસાર સમાઈ ગયો હતો.
સાંજે શેરીની છોકરીઓ સાથે ખો ખો, આંધળીયો પોતલળીઓ રમવું શેરીની છોકરીઓને ટ્યુશન આપવું, લાયબ્રેરીમા જઈ પુસ્તકો નો ઢગલો લઇ આવવો પછી ગરમ બપોરમાં પંખા નીચે સૂઈ પુસ્તકો વાંચવાં! આ ઘર દિવસે દિવસે વધારે ને વધારે વહાલું થતું જતું હતું. બગીચો હવે ખૂબ મહેકી ગયો હતો. રાતરાણી, સાચા ગુલાબ અને ચંપો અમારાં બગીચાને મહેકાવા માટે પૂરતાં હતાં. અને જાસુદ, બોગનવેલ અને પારિજાત બગીચાને રંગ આપી રહ્યાં હતાં. નાળિયેરી, કેળાં અને પપૈયા ફળ આપી રહ્યાં હતાં. પપ્પા રોજ સવારે બધાં છોડને પાણી આપે અને પ્રેમથી એને પ્રસારે. એક એક ફૂલ સાથે વાતો કરે. બા પણ પપ્પા પાછળ ફરી પપ્પાને મદદ કરે. સવારના સાત વાગ્યાથી લગભગ નવ વાગ્યાં સુધી બંને આ કામ કરે. બા મારા એકદમ સાદા ,સીધા અને સરળ સ્વભાવનાં હતાં. બાનો વાન એકદમ ગોરો હતો. એમની દાઢી પર એક છૂંદણું ટંકાવેલું હતું. બા ગુજરાતી સાડલો પહેરતાં. ગુજરાતી હિરોઈન દિના પાઠક જેવા લાગતા! સ્નેહ નીતરતી આંખો એમની ઓળખાણ હતી!
પપ્પાની ઈચ્છા મને ડૉક્ટર બનાવવાની હતી. પહેલાં એફ.વાયથી મેડિકલમાં જવાતું હતું.પણ કમનસીબે એ વરસથી અચાનક પ્રી સાયન્સથી મેડીકલનાં ઍડમીશનનું ચાલું થયું અને મેં પ્રી સાયન્સમાં બહું મહેનત કરેલી નહીં એટલે મેડિકલમાં ના જઈ શકી. પછી નર્સીંગમાં જવું હતું પણ એ જમાનામાં નર્સીંગને બહું સારો પ્રોફેશન ગણવામાં આવતો ન હતો તેથી પપ્પાએ ના જવા દીધી.પછી ભણવામાં રસ ઓછો થઈ ગયો.
જિંદગીઔરમૌતતોઉપરવાલેકેહાથમેહૈ!
હું જ્યારે કૉલેજનાં ચોથા વરસમાં હતી ત્યારે મારા જીવનમાં એક હાદસો થઈ ગયો જે હું જીવનના અંત સુધી નહીં ભૂલું. મારી એક મોટી બહેન નજમા પરકોમના છોકરાના પ્રેમમાં હતી. એનું નામ રવિ હતું. રવિ એ કૉલેજનો તોફાની છોકરો હતો. ભણવા ગણવાનું નહીં અને છોકરીઓની લાગણી સાથે રમવાનું! કૉલેજની બહાર ઊભા રહેવું માવા ખાવા અને આવતી જતી યુવતીઓને છેડછાડ કરવી. પણ નજમા પ્રેમમાં અંધ હતી. એને રવિનો અસલી ચહેરો દેખાતો ના હતો. એ બંને વચ્ચે કૈક ખટરાગ થતા નજમાએ એકવાર ઊંઘની ગોળી ખાઈ આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો. તેથી પપ્પા ગભરાઈ ગયા, એમણે કહ્યું,”બેટા,જો રવિ તારી સાથે લગ્ન કરવા તૈયાર હોય તો મને વાંધો નથી, સમાજ અને ધર્મની વિરુધ જઈને તારા લગ્ન રવિ સાથે કરાવી આપીશ. મારે માટે દીકરીનું જીવન કોઈ સમાજ કે ધર્મ કરતાં વધારે છે. તું રવિ સાથે લગ્નની વાત કરી લેજે.” રવિના માબાપ આ પ્રેમસંબંધની વિરુધ હતાં. પપ્પાએ દીકરીની જીદ આગળ નમતું જોખેલું. પણ રવિ ને તો રમત કરવી હતી લગ્ન ક્યાં કરવા હતા?
એ દિવસે મારા કેમેસ્ટ્રીના પ્રેકટીકલ હતાં. ચાર વાગે હું કોલેજથી પાછી ફરતી હતી. મેઘદૂત સિનેમા પાસે પહોંચી તો અમારા પડોશી લાભુબેન એકદમ હાંફળા ફાફળા દોડતાં મારી પાસે આવ્યાં, મને કહે કે જલ્દી ઘરે જા તારાં ઘરમાં કૈંક બની ગયું છે. મારા હાથમાંથી પુસ્તકો પડી ગયા. હું ઘર તરફ ભાગી તો ઘરમાં રોકકળ ચાલું હતી, નજમાએ રવિની હાજરીમાં પોતાના પર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી. એનું અર્ધ બળેલું શરીર મારી સામે હતું. મારી આંખો પટપટાવાનું ભૂલી ગઈ હતી ગળે ડૂમો બાજી ગયો હતો. મારા હાથ પગ ધ્રુજી રહ્યાં હતાં . રવિ સામે જ રસોડામાં ઊભો હતો. મારું શરીર ગુસ્સાથી ધ્રુજી રહ્યું હતું, મારા હાથમાં કોફીનો કપ આવ્યો, મેં જોરથી એ કપ રવિના માથામાં માર્યો. એ ભાગી ગયો. ફરી કદી મહુવામાં નજર ના આવ્યો. એમ્બ્યુલન્સ આવી નજમાને લઈ ગઈ. પપ્પાની આંખોમાં ચોધાર આંસું હતા. નજમા થોડી વાર માટે હોશમાં આવી. પપ્પા બાજુમા બેઠા હતા. પપ્પાને જોઈને બોલી “પપ્પા મને બચાવી લો, મારે મારો જીવ એ બેવફા માટે નથી આપવો.” પપ્પાએ કહ્યું “બેટા તને જરૂર બચાવી લઈશ.” નજમા ફરી બોલી “પપ્પા મારા શરીર ઉપર બળવાના ડાઘ તો રહી જશેને?” એ બોલ્યા ” બેટા, તું શું કામ ચિંતા કરે છે, હું તારી પ્લાસ્ટીક સર્જરી કરાવીશ.”નજમા એ પપ્પાનો હાથ પકડી રાખ્યો. ધીરે ધીરે એની આંખો સદા માટે બંધ થઈ ગઈ. નજમા પપ્પાને કરગરતી રહી મને બચાવી લો. પણ પપ્પા એને બચાવી ના શક્યા.
નજમાનું મય્યત ઘરે આવ્યું. બધા મને હાથ પકડીને છેલ્લીવાર નજમાનું મોઢું જોવા માટે આગ્રહ કરતાં હતાં. પણ મેં સુંદર નજમાને જોયેલી, મને બળેલું મોઢું જોવાની હિંમત ના હતી. મારે એને સુંદર રીતે જ યાદ રાખવી હતી. રસોડાની બારીમાંથી મેં જનાજો જતા જોયો. હું નજમાને હજુ સુધી અલવિદા નથી કહી શકી! બા અને પપ્પા આ ગમ જિંદગીભર ભૂલી ન શક્યાં. હું કોલેજનાં ચોથા વરસની પરીક્ષા ના આપી શકી. મેં ડ્રોપ લઈ લીધો. પછીના વરસે એટલેકે ૧૯૭૫ માં મેં ચોથા વર્ષની પરીક્ષા આપી. ભણવામાં દિલ ચોંટતું ના હતું. તેથી પાસિંગ માર્ક સાથે પાસ થઇ.નજમા ઉર્દુમાં શાયરી લખતી હતી.
નજમાનુંમૃત્યુએ 299 નોપહેલોઆઘાતહતો. આમારું જીવન બદલાઈ ગયું હતું. હવે 299 અમને ખાવા ધાતુ હતું. મારો એક બહુ નજીકનો મિત્ર હતો તેનું નામ અશોક હતું જે રવિનો દોસ્ત પણ હતો. શાંત સ્વભાવનો અશોક રવિ થી બિલકુલ વિપરીત સ્વભાવનો હતો. પણ નજમાના મૃત્યુ પછી પણ એ રવિનો દોસ્ત રહ્યો એટલે મને એના પર ખૂબ ગુસ્સો આવ્યો અને મેં એની સાથે દોસ્તી તોડી નાખી, એને કહ્યું તું જો રવિ સાથે દોસ્તી રાખે તો હું તારી સાથે દોસ્તી ના રાખી શકું કારણકે રવિના શરીરમાંથી મારી બહેનની બળેલી ચામડીની બદબુ આવે છે, તું જો એની સાથે રહે તો મને એ બદબુ તારામાંથી પણ આવશે. અમારી દોસ્તી તૂટી ગઈ. આમ નજમા ની સાથે સાથે એક મિત્ર પણ ખોયો.
પણ સમયનું શું છે? સમય તો વહેતો જ રહેવાનો. જીવનને ઝાટકા આપી આપીને પણ એ ક્યાં થંભે છે? સારો કે ખરાબ સમય હંમેશા પસાર થઇ જતો હોય છે. ખુશી હોય તો સમય ક્યાં પસાર થાય એ ખબર પડતી નથી. અને ખરાબ સમય કાચબાની ગતિથી પણ પસાર થઇ જાય છે.
પપ્પા અમારું ખૂબ ધ્યાન રાખતા. અમને બધા દુઃખોથી બચાવીને રાખતા. પપ્પા એટલે ખૂબ હિમંતવાળુ પાત્ર!! પણ નજમાના મૃત્યુ સમયે પપ્પાને તૂટતા જોયા છે. ક્યારેય ના રડતા પપ્પાની આંખોમાંથી ચોધાર આંસું નીકળતાં જોયાં! નજમાના મૃત્યુ પછી ઉદાસ થતી તો પીકચરમાં લઈ જતા અને જાત જાતના બહાના કરી હસાવતા!! જાત જાતના પુસ્તકો લઇ આવે. અમારી સાથે કેરમ રમે ! માબાપમાં કેટલી સબર હોય છે. પોતાનું દુઃખ છૂપાવીને બાળકોને પોતાના દામનમાં છૂપાવી દે છે. નજમાથી હું નાની એટલેકે પાંચમો નંબર! હવે મારા લગ્નની ચિંતા બા પપ્પા કરવા લાગ્યાં હતાં. અમે શિયા હતા. શિયા મુસલમાનનો એક ફીરકો છે. નજમાની આત્મહત્યાની ખબર ઘરે ઘરે પહોંચી ગયેલી. એટલે શિયામાં મારા લગ્ન થવા મુશ્કેલ હતા. બધાં ઘરમાં વાતો થતી કે મમુભાઈની દીકરીએ હિંદુના છોકરાના પ્રેમમાં આત્મહત્યા કરી. મમુભાઈ દીકરીઓને ખૂબ છૂટ આપે છે. આવી દીકરીને કોણ ઘરમાં લાવે!
પપ્પાએ અમારા માટે સ્ત્રી મેગેઝીન બંધાવેલું. એમાં હું હંમેશા લગ્ન માટેની જાહેરાત જોતી. મને વિચાર આવ્યો કે હું પણ આમાં જાહેરાત આપું તો કેવું! પપ્પાની ઈચ્છા ના હતી. તેમ છતાં મેં મારી મોટી બહેન ફતુમાનુ સરનામું આપી સ્ત્રીમાં જાહેરાત મોકલાવી. જો કોઈને રસ હોય તો ફતુમાના ઘરે પત્ર લખે. લગભગ ત્રણ મહિના સુધી કોઈ જવાબ ના આવ્યો, પણ પછી શરીફનો પત્ર આવ્યો. અમે લોકોએ મળવાનું નક્કી કર્યું. એને ટેલિગ્રામ કર્યો કે એ મને મળવા આવે છે. પણ મને ટેલિગ્રામ મળ્યો નહિ. ૧૨મી જૂન ૧૯૭૬ ના દિવસે સવારે પાંચ વાગે અમારા બંગલાની ડોરબેલ વાગી. પપ્પા એને ઓળખી શક્યા નહીં. શરીફે કહ્યું, “હું બાનુમાને મળવા આવ્યો છું. મેં ટેલીગ્રામ કરેલો શું આપને મળ્યો નથી?” પપ્પાએ ના પાડી. હું લઘરવઘર કપડામાં હતી અને સામે શરીફ ઊભો હતો.ઘરમાં બધાં ઉઠી ગયાં. બા ઉઠીને નાસ્તો બનાવવા લાગ્યાં. હું શાવર લઈને સફેદ સાડી પહેરીને એની સામે તૈયાર થઈને આવી ગઈ. બશીરા બાને મદદ કરવા લાગી. એટલામાં દસ વાગી ગયા અને ટેલિગ્રામવાળો આવ્યો અને ટેલિગ્રામ આપીને કહે બેન કોઈ તમને મળવા આવે છે, બક્ષિસ આપો! અને સર્વ હસી પડ્યાં!
મારા અને શરીફ વચ્ચે પત્ર વહેવાર ચાલતો રહ્યો. શરીફ અમેરિકા જવાનું વિચારતો હતો. અમેરિકા જવું એ મારા માટે કોઈ મોટી વાત ના હતી, કારણકે અમેરિકાને મેં ફક્ત નકશામાં જ જોયેલું અને અમેરિકા જવું એટલે મોટી તક હતી અને તમારું જીવન બદલી નાખશે એવો કોઈ વિચાર મને ના હતો. પણ એ હંમેશા અમેરિકાની ખૂબ સારી સારી વાત કરતો એટલે અમેરિકાનું મહત્વ ધીરે ધીરે મને સમજાવા લાગ્યું. એ વિઝા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. એને ફાર્મ ડી કરેલું. તે જમાનામાં ડોકટર્સ, ફાર્માસીસ્ટ અને નર્સને ગ્રીનકાર્ડ મળી જતું હતું. અંતે એને પણ વિઝા મળી ગઈ. એ ૨ ઓક્ટોબર, ૧૯૭૬ ના દિવસે ફરી મને મળવા મહુવા આવ્યો. એની ઈચ્છા હતી કે જો હું હા પાડું તો સગાઇ કરીને અમેરિકા જવું. એને મારી સાથે લગ્ન કરવા એવું દિલથી નક્કી કરી નાખ્યું હતુ. એ મને મહોબત કરતો હતો. એના પત્રો પરથી સાફ જાહેર થતું હતું. પણ હું નાદાન હતી!
પપ્પા પણ પહેલા શરીફનું ઘર તથા એમના કુટુંબને મળવા માગતા હતા. પિતાના મનમાં કેવી દ્વિધા હોય છે એ એક પિતા જ જાણે છે. દીકરીનું સાસરું કેવું છે. લોકો કેવા છે, ખાનદાન કેવું છે, એ જાણવું એ એક પિતાને માટે ખૂબ મહત્વનું છે શરીફ દસ ઓક્ટોબરે અમેરિકા જવા નીકળી જવાનો હતો, પણ પત્રવહેવાર ચાલુ રાખવાનું વચન આપી અમે છૂટા પડયાં.
સેજલે કેટલાયે ત્રાગા કરીને સાસુને અંતે વૃધ્ધાશ્રમમાં મોકલ્યે જ છૂટકો કર્યો. શાલિન ઝગડાનો કાયર..ભીરુ..જે કહો તે.. પણ રોજના કલહ,કંકાસથી ત્રાસીને અંતે…મા ત્યાં જ સુખી થશે..એમ મન મનાવી કચવાતે મને, ભારે હ્રદયે માને મૂકી આવ્યો. અલબત્ત ત્યાં તેમને કોઇ અગવડ ન પડે તે ગોઠવણ કરવાનું તે ચૂકયો નહોતો. સેજલની જાણ બહાર વધારે પૈસા ભરીને બાને વધુ સગવડ મળી રહે તેટલું કરી તેણે થોડી રાહત અનુભવી.પોતાની કાયરતા પર પોતાની જાતને તે ધિક્કારતો રહ્યો. પરંતુ પહેલેથી શ્રીમંત પત્ની પાસે તે દબાઇ ગયો હતો. સેજલનું ભલું પૂછવું..તે કંઇ પણ કરી શકવા સમર્થ હતી. હું મરું પણ…!
લાચાર શાલિન બાને કહે તે પહેલા બાએ જ પરિસ્થિતિ સમજી સામેથી જ….
રૂન્ધાયેલ કંઠે શાલિન એક શબ્દ બોલી ન શકયો. શું બોલે તે ? અને આમ મીનાબહેન વૃધ્ધાશ્રમમાં પહોંચી ગયા હતા. પોતાનું ધાર્યું થવાથી સેજલ ખુશખુશાલ હતી. નોકરની વ્યવસ્થા તેણે પહેલેથી જ કરી રાખેલ હતી. પાંચ વરસની જલશ્રીને સ્કૂલેથી લાવવી, જમાડવી,રમાડવી, રસોઇ કરવી વિગેરે માટે એક બહેન રાખી લીધા અને બાકી ઝાડુ,પોતા,કપડા, વાસણ વિગેરે કામ કરવા તેનો જ સોળ વરસનો દીકરો વિનુ આવતો હતો. આમ બધી વ્યવસ્થા ગોઠવાઇ ગઇ હતી.
નહોતી ગોઠવાઇ શકી ફકત નાનકડી જલશ્રી… દાદીમા વિના તેને કયાંય ચેન નહોતું. દાદીમા વાર્તા કરતા, તેને જમાડતા..તેની સાથે રમતા.દાદી પૌત્રી સાથે ફરવા જતા..દાદીમા બગીચામાં હીંચકા ખવડાવતા..આવા વહાલા દાદીમા તેને મૂકીને કેમ..કયાં ચાલ્યા ગયા..તે તેને સમજાતું નહોતું.મમ્મીને પૂછવાથી તે ખીજાતી હતી. અને પપ્પા તો આ વાતનો જવાબ જ નહોતા આપતા.
આજે સેજલને રજા લેવી પડી હતી. કામ કરનાર બેન અને તેનો દીકરો બંને કોઇ લગ્નપ્રસંગે બહારગામ ગયા હતા. અને આઠ દિવસ પછી આવવાના હતા. તાત્કાલિક આટલે દૂર બીજી કોઇ કામવાળી મળે તેમ નહોતું. આઠ દિવસ શું કરીશ ? આટલી બધી રજા કેમ મળશે ? સેજલને સાસુ યાદ આવી ગયા. એ હતા ત્યારે આવી કોઇ ફિકર નહોતી. જલશ્રી પણ ત્યારે કેવી ખુશ રહેતી.પોતે ઘેર આવે એટલે આજે દાદીમા સાથે શું કર્યું, દાદીમા એ કેટલી વાર્તાઓ કરી., કેવા રમ્યા બધું હોંશથી કહેતી રહેતી. હવે તો કોઇ વાત નથી કરતી. પૂછે તો પણ ખાસ કોઇ જવાબ નથી આપતી. તેના ચહેરા પરથી જાણે નૂર ઉડી ગયું છે.
આજે સેજલને આ બધું યાદ આવવા લાગ્યું. એક મિનિટ તો મનમાં વિચાર પણ આવી ગયો કે સાસુને પાછા લઇ આવવા…પણ પોતે જ કાઢયા હતા. હવે કયા મોંએ પાછા લાવવાનું કહે ? અને એકવાર લાવે એટલે પછી જિંદગીભરની ઉપાધિ…સાજા , માન્દા થાય બધું પોતાએ જ કરવું પડે. ના..ના.. ભલે થોડા દિવસ અગવડ પડે..પણ એ ભૂલ તો કરવી જ નથી. બે ચાર દિવસ પોતે રજાની વ્યવસ્થા કરશે. બે ચાર દિવસ રજા લેવાનું શાલિનને કહેશે. બાકી ભૂલેચૂકે હવે ડોશીને પાછી ઘરમાં ઘલાય નહીં.પુત્રી પણ ધીમે ધીમે ટેવાઇ જશે.
તેણે જલદી જલદી કામ પતાવવા માંડયા. જલશ્રીને તૈયાર કરીને સ્કૂલે મોકલવાની હતી. તેણે જલશ્રીનો નાસ્તો તૈયાર કર્યો. પછી તેને ઉઠાડી. બ્રશ કરાવી નવડાવવા લઇ ગઇ. કપડાં કાઢી જલદીથી નવડાવતી હતી. ત્યાં…. ’ મમ્મી, તું આજે અહીં નહીં ઘસતી હોં. “ સુ સુ “ કરવાની જગ્યાએ મને બહું દુ:ખે છે. ‘ સેજલ ચોંકી ઉઠી. ધ્યાનથી જોયું તો આખો ભાગ લાલ..લાલ અને સૂજી ગયેલ…
‘ આ શું થયું બેટા ? ‘ ’ વિનુ મને નવડાવે ત્યારે રોજ ત્યાં જોશથી ઘસે છે. હું રડું તો ખીજાય છે. અને મમ્મીને કહીશ તો બાવા પાસે પકડાવી દેશે એમ કહે છે.’ જલ ડઘાઇ ગઇ. ’ તે તને બેન નથી નવડાવતા ? ’ ના, રોજ વિનુ જ નવડાવે…અને……’ વાત પૂરી કરતાં પહેલાં જ જલશ્રી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.
સેજલ સ્તબ્ધ…તેની આંખો વરસી પડી. તે દિવસે જ તેણે શાલિન પાસે ફરી એકવાર જીદ કરી..સાસુને પાછા ઘેર લાવવાની. ‘ મેં ભૂલ કરી છે અને હું જ તેમની માફી માગીને લઇ આવીશ.’ કહેતી ભીની આંખે સાસુને પાછા લાવવા પોતે ઉપડી ગઇ.
એક એવા વાજિંત્રની વાત કરવાની છે જેનું સ્થાન રાષ્ટ્રધ્વજમાં પણ રહી ચુક્યું છે. જે આજે પણ રાષ્ટ્રધ્વજની સાથોસાથ પાસપોર્ટ, સીલ – સિક્કા, આર્મી કોટ, સરકારી કચેરીઓ તેમજ તેના ડોક્યુમેન્ટ પર પણ જોવા મળે છે. આ વાદ્ય ~ વાજિંત્ર વગાડનાર સંગીતકારોને કાયદાકીય રક્ષણ પૂરું પાડવામાં આવતું હતું તેમજ શાહી દરબારોની શોભા વધારતું. તો ચાલો જાણીએ, પ્રાચીન વાજિંત્ર એવા હાર્પ વિશે સાથે જાણીશું તેનો પરિચય, ઇતિહાસ, તેની બનાવટ તેમજ વિશેષ બાબતો વિશે.
હાર્પ એ તંતુવાદ્યની શ્રેણીમાં આવતું ત્રિકોણાકાર વાજિંત્ર અથવા તો T શેપ વાજિંત્ર છે. તે પ્રાચીન આયર્લેન્ડનું સત્તાવાર રાષ્ટ્રીય પ્રતીક હતું, જેમ આપણે અશોકસ્તંભ છે એવી રીતે. આજે પણ આયર્લેન્ડનાં પાસપોર્ટ, સરકારી દસ્તાવેજો, ચલણી સિક્કા વગેરેમાં હાર્પનું ચિહ્ન જોવા મળે છે. હાર્પનું મૂળ આઇરિશ નામ clairseach – ક્લારશાખ હતું. સ્કોટલેન્ડમાં તે clarsach – ક્લારશાખ તરીકે ઓળખાતું. હાર્પ એ પોતે ફ્રેન્ચ શબ્દ Harpa પરથી આવેલ છે, જે ત્રિકોણાકાર તંતુવાદ્યને દર્શાવે છે. આ ઉપરાંત તે ગેલિક હાર્પ તરીકે ઓળખાતું. અત્યારનું મોડર્ન જમાનાનું હાર્પ કોન્સર્ટ હાર્પ તરીકે ઓળખાય છે.
હાર્પના ઈતિહાસ વિશે જાણીશું.
હાર્પ કેટલું જૂનું છે એ કહેવું અશક્ય છે. પરંતુ મેસોપોટેમિયા અને ઇજિપ્શિયન સભ્યતામાંથી તેના ૫૦૦૦ વર્ષ જૂના ચિત્રો જોવા મળ્યા હતા. આ ઉપરાંત ૮ મી સદીના ખ્રિસ્તિયન ક્રોસના પથ્થરો પર તેમજ એ સમયની મળેલી હસ્તપ્રતો પર તેના ચિહ્નો જોવા મળ્યા હતા. હાર્પનો અર્થ માત્ર તંતુવાદ્ય એટલે કે લાકડાના કોઈ માળખામાં ચાંદી – પિત્તળ અથવા તો ગટ (પ્રાણીઓનાં સુકાયેલા આંતરડા) તાર ગોઠવેલા હોય એમ થતો હતો. હાર્પની કોઈ ચોક્કસ વ્યાખ્યા કે અર્થ નહોતો આવ્યો. લગભગ મોટા ભાગના દેશોની સંસ્કૃતિ તેમજ માયથોલોજીમાં હાર્પનો અલગ અલગ નામ, સ્વરૂપ ~ આકાર સાથેનો સંદર્ભ જોવા મળે છે. ૧૦ મી સદીમાં યુરોપમાં આવા તંતુવાદ્ય જોવા મળ્યા હતા, પરંતુ તે હાર્પ ઓછા અને ગિટાર વધારે લાગતા હતા.
આયર્લેન્ડ કે જેને મુખ્યરૂપે હાર્પનું ઉત્પત્તિ સ્થાન માનવામાં આવે છે ત્યાં, એનું આગમન અગિયારમી સદીની આસપાસ થયું હોય એવું માનવામાં આવે છે. હાર્પ આયર્લેન્ડની સાથે સાથે સ્કોટલેન્ડમાં પણ હતા. આ ત્રિકોણાકાર તંતુવાદ્યનું નામ એ લોકોની સ્થાનિક ભાષામાં પાડવામાં બહુ બધી ગડમથલ જોવા મળી હતી. જ્યાં સુધી હાર્પનું કોઈ ચોક્કસ નામ અસ્તિત્વમાં નહોતું આવ્યું, ત્યાં સુધી તેના માટે cruit અને crott જેવા નામો સજેસ્ટ કરવામાં આવ્યા હતા, કારણકે આ બંને નામો તંતુવાદ્ય સાથે જોડાયેલા હતા. પરંતુ આ બંને નામોમાંથી એકપણ નામ આ ત્રિકોણાકાર તંતુવાદ્યને ફીટ બેસતું નહોતું, કારણ કે cruit અને crott જેવા નામો ચાર બાજુવાળા ચતુષ્કોણ તંતુવાદ્ય સાથે વધુ સંકળાયેલ હતા. પરંતુ જ્યાં સુધી હાર્પનું કોઈ ચોક્કસ નામ નહોતું આવ્યું, ત્યાં સુધી તે cruit તરીકે ઓળખાતું હતું. ૧૨ મી સદીથી તેને સત્તાવાર રીતે આયર્લેન્ડનું રાષ્ટ્રીય પ્રતીક જાહેર કરવામાં આવ્યું હતું. ૧૩ મી સદીના આયર્લેન્ડના રાષ્ટ્રધ્વજમાં બ્લુ રંગના બેકગ્રાઉન્ડ પર કેન્દ્રસ્થાને ચાંદીના તારવાળું સુવર્ણ હાર્પનું ચિહ્ન રાખવામાં આવ્યું હતું. આ સમયગાળામાં હાર્પ અને તેના સંગીતકારો (harper કે harpist) આયર્લેન્ડના ગેલિક સમાજમાં પ્રમુખસ્થાને હતું.
૧૩ મી સદીમાં આ ત્રિકોણાકાર તંતુવાદ્યનું ફ્રેન્ચ શબ્દ Harpe પરથી Harp – હાર્પ નામ જાહેર કરવામાં આવ્યું. ૧૪ મી સદીમાં, હાર્પ આયર્લેન્ડમાં તેના આઇરિશ નામ Clairseach – ક્લારશાખ તરીકે ઓળખાયું અને સ્કોટલેન્ડમાં Clarsach – ક્લારાશાખ તરીકે ઓળખાયું.
૧૨ મી સદીથી આ ત્રિકોણાકાર તંતુવાદ્યનો સુવર્ણકાળ શરૂ થયો. આયર્લેન્ડમાં વસતા ગેલિક સભ્યસમાજની સંસ્કૃતિમાં હાર્પ અને તેના સંગીતકારો (હાર્પર કે હાર્પિસ્ટ) પ્રમુખસ્થાને હતા. આપણે જેમ હરખના પ્રસંગમાં ઢોલ વાળાને બોલાવીએ તેમ ગેલિક લોકો પણ કોઈપણ પ્રકારની ઉજવણી વખતે હાર્પ વગાડવાવાળાને બોલાવતા. બાળક જન્મ (છઠ્ઠી), લગ્ન પ્રસંગ, યુદ્ધમાં જતી વખતે, યુદ્ધ પછી વિજયરેલી તેમજ ધાર્મિક તહેવારો તેમજ સામાજિકમાં કાર્યક્રમોમાં હાર્પ વગાડવામાં આવતું. કોઈના મૃત્યુ વખતે પણ સાંત્વના આપવા એને લાગતું સંગીત વગાડવામાં આવતું. પ્રસંગને અનુરૂપ પ્રેમ, આનંદ, ઉત્સાહ, ભક્તિ, પ્રેમ, વિરહ વગેરેની ધૂન વગાડીને કલાકારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતા.
હાર્પ વગાડનારાઓ તારોમાંથી સુરો રેલાવીને શાહી દરબારોની શોભા વધારતા. તેઓ હાર્પ વગાડતા વગાડતા પૌરાણિક કથાઓ – વાર્તાઓ કહેતા, ગીતો તેમજ કર્ણપ્રિય સંગીતની ધૂનો રેલાવતાં. રાજાઓના દરબારમાં આ કલાકારોનું સ્થાન વિદ્વાન કક્ષાનું રહેતું; તેમજ તે બારોટ તરીકે પણ ભૂમિકા ભજવતા. હાર્પર એવા એકમાત્ર સંગીતકારો (કલાકાર) હતા, જેને મનોરંજક તરીકેનો સ્વતંત્ર કાનૂની દરજ્જો મળેલો હતો. કલાકારોના નખને પણ કાયદાકીય સુરક્ષા આપવામાં આવતી; આપણે જેમ વીમો ઉતરાવીએ એમ. નખને સુરક્ષા એટલા માટે આપવામાં આવતા કારણ કે હાર્પના તારો વગાડીને નખો તૂટી જતાં. હાર્પ સંગીતકારો ને કેટલાય વર્ષો સુધી તેને વગાડવાનો અભ્યાસ કરવો પડતો તેમજ તાલીમ લેવી પડતી. હાર્પ કલાકારોને રાજાના દરબારમાં એક પગારદાર કલાકાર તરીકે રાખવામાં આવતા. સન ૧૫૪૧માં જ્યારે હેનરી આઠમો આયર્લેન્ડનો રાજા ઘોષિત થયો ત્યારે તેણે હાર્પ પર તાજ પહેરેલો હોય (crowned harp) એવા સિક્કાઓ બહાર પાડ્યા હતા.
૧૬ મી સદીમાં આયર્લેન્ડ પર બ્રિટીશરો દ્વારા આક્રમણ બાદ ત્યાંની પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. હાર્પ એ આયર્લેન્ડની સંસ્કૃતિનું તેમજ રાજકીય દૃષ્ટિએ સૌથી મહત્ત્વનું પાસું હતું; એક ગૌરવ હતું. દુશ્મન લોકો માટે હાર્પ એ ખતરા સમાન હતું. આથી આયર્લેન્ડ પર કબજો જમાવતાની સાથે જ રાણી એલિઝાબેથ પ્રથમે હાર્પ સંગીતકારોને બંધી બનાવી લીધા હતા અને એ લોકોને ફાંસી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઘણાંખરા હાર્પ પણ સળગાવી દેવામાં આવ્યા હતા. આ બ્રિટીશરો હાર્પ સંસ્કૃતિને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં માગતા હતા; એની ઓળખ નષ્ટ કરવા માંગતા હતા. હાર્પ વગાડવા અને તેના ઉત્પાદન પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જેટલા હાર્પ કલાકારો બચ્યા હતા તેને માટે તો જાણે રોજીરોટી તેમજ આત્મગૌરવ છીનવાઈ ગયું હતું. આથી એ લોકોએ પોતાની કલાને બચાવવા મજબૂરીના માર્યા અન્ય શહેરોમાં સ્થળાંતર કરવું પડ્યું હતું. ત્યાં આ લોકો અલગ અલગ સ્થળે વિચરણ કરીને આ સંગીતકારો હાર્પ વગાડીને પોતાનું ગુજરાન ચલાવતા. ધનિક ઘરોમાં હાર્પ સંગીત શીખવવા જતા. નવી ધૂન – ગીત બનાવીને લોકોનું મનોરંજન કરીને પૈસા કમાતા. આવા કપરા સમયમાં પણ એ વખતના પ્રખ્યાત તેમજ પ્રખર હાર્પ કલાકાર Turlough O’ Carolan એ નવું સંગીત કંપોઝ કરવાનું શરૂ રાખ્યું. હાર્પનો આવો કપરો સમયગાળો લગભગ ૧૬ મી થી ૧૯ મી સદી સુધી ચાલ્યો.
૧૯૬૦થી આ આઇરિશ વીણા – હાર્પનો જાણે પુનર્જન્મ થયો હોય તેમ ફરી પાછું આયર્લેન્ડ માં ઉદ્ભવ્યું. પરંતુ હવેનું આ હાર્પ થોડાંક ફેરફારો સાથે આધુનિક સ્વરૂપમાં હતું. Celtic – કેલ્ટિક હાર્પના સ્થાને આધુનિક જમાનાનું કોન્સર્ટ હાર્પ આવ્યું હતું. હાર્પ સંગીતકારો તેમજ શીખાનારાઓની સંખ્યા પણ દિવસે ને દિવસે વધવા લાગી હતી. આ આધુનિક હાર્પ ફ્રેંચમેન જોન ઈગન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જે હજુ પણ યથાવત છે.
અત્યારે માત્ર ત્રણ પ્રાચીન હાર્પ જ અસ્તિત્વમાં છે, જેને મ્યુઝિયમમાં સાચવવામાં આવેલ છે. આ ત્રણમાં બે સ્કોટલેન્ડના અને એક આયર્લેન્ડનું છે;
ક્વિન મેરી હાર્પ, લેમૌટ હાર્પ અને બ્રાયન બોરું હાર્પ. આયર્લેન્ડનું બ્રાયન બોરું હાર્પ(૧૪ – ૧૫ મી સદીનું) ડબલિનની ટ્રિનિટી કોલેજની લાઇબ્રેરીમાં સાચવવામાં આવ્યું છે.
હાર્પનું વર્ણન
હાર્પ એ ત્રિકોણાકાર તંતુ વાદ્ય છે. દેખાવમાં આડા ત્રિકોણ જેવું લાગે છે. ઊભો ભાગ સ્તંભ જેવો હોય છે. તેની સાથે એક પોલું સાઉન્ડ બોક્સ જોડાયેલું હોય છે જેમાં તાર ~ તંતુ ફીટ કરવામાં આવેલા હોય છે. પ્રાચીન હાર્પમાં ચાંદી – પિત્તળનાં બનેલા તારનો ઉપયોગ કરવામાં આવતો. અત્યારના આધુનિક હાર્પ માં નાયલોન, અન્ય ધાતુ તેમજ અમુકમાં તો એનિમલ ગટ (પ્રાણીઓનાં સુકાયેલા આંતરડા) તારનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારના આધુનિક હાર્પમાં ૪૭ તંતુઓ જોવા મળે છે, જેમાં એ તંતુઓ અમુક સંખ્યામાં A, B, C ગ્રુપમાં વિભાજિત હોય છે અને એ બધાય ગ્રુપ અલગ અલગ રંગોથી રંગવામાં આવેલા હોય છે. સાઉન્ડ બોક્સનો ઉપરનો વળાંકવાળો ભાગ ગરદન તરીકે ઓળખાય છે જ્યારે નીચેનો ભાગ નીચે તરફ સીધો ઢળતો હોય છે. સાઉન્ડ બોક્સના ઉપરના ગરદનવાળા ભાગ પર સાઉન્ડ પીચ બદલવા માટેના લેવર બટન આવેલા હોય છે જેનાથી સાઉન્ડ પીચ એડજેસ્ટ થાય છે – તીવ્ર અને કોમળ. સાઉન્ડ બોક્સની નીચે પેડલ ફીટ કરવામાં આવેલ હોય છે. અત્યારે જે હાર્પ વગાડવામાં આવે છે તે કોન્સર્ટ કે લેવર હાર્પ હોય છે. પ્રાચીન હાર્પ કલાકારો તેના નખોથી વગાડતા જ્યારે અત્યારનું હાર્પ કલાકાર નખ પર કવર (ફિંગર પિક્સ) પહેરીને વગાડે છે.
વિશેષ બાબતો
હાર્પ આયર્લેન્ડ સિવાય યુરોપ, મેક્સિકો, સ્પેન, આફ્રીકા, બર્મા વગેરે જેવા દેશોમાં પણ પ્રખ્યાત થયું હતું, પરંતુ તેનો દેખાવ અને નામ અલગ હતા.
ભારતમાં હાર્પ ‘સ્વરમંડળ’ તરીકે ઓળખાય છે. જે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, સ્વર્ગનાં ગંધર્વો દ્વારા વગાડવામાં આવતું.
આજે પણ આયર્લેન્ડના રાષ્ટ્રીય પ્રતીક તરીકે હાર્પ યથાવત્ છે. આયર્લેન્ડના સિક્કાઓ, પાસપોર્ટ, સરકારી સીલ, સરકારી દસ્તાવેજો વગેરે પર તેનું ચિહ્ન જોવા મળે છે.
વર્ષ : ૨૦૧૯ આઇરિશ હાર્પને યુનેસ્કો દ્વારા Intangible Cultural Heritage (અમૂર્ત સાંસ્કૃતિક વારસો)ની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું.