-
મહાશ્વેતાદેવી: વંચિતોની કલમ, શતાબ્દી નમન
તવારીખની તેજછાયા

અરણ્યનો અધિકાર અરણ્યેર અધિકાર પ્રકાશ ન. શાહ
થોડાં અઠવાડિયાં પર જાણ્યું કે મહાશ્વેતાદેવી કૃત ‘અરણ્યનો અધિકાર’ ચાર દાયકાથીયે વધુ અંતરાલ પછી ગુજરાતમાં પુનઃ સુલભ થયું છે. આનું નામ જોગાનુજોગ: ‘અરણ્યનો અધિકાર’ના નાયક બિરસા મુંડાની સાર્ધ શતાબ્દીનો માહોલ છે. ૧૮૭૫ના નવેમ્બરમાં એ જન્મ્યા અને ૧૯૦૦ના જૂનમાં આખા ૨૫ વરસનું યશસ્વી આયુષ્ય વીતાવી એ વીરમૃત્યુને વર્યા: આદિવાસી ઓળખ અને અધિકારનો અલખ જગવીને. ૧૭૫૭, ૧૮૫૭, ૧૯૪૭ એવા મેગા નેરેટિવમાં અને મોટી દઈત સામસામી જમાવટોના ઇતિહાસલેખનમાં આપણે ઝારખંડના બિરસા કે ઓખા પંથકના માણેક આસપાસની વીરગાથાઓ વિસારે પાડીને ચાલીએ છીએ.
જોકે હવે સદભાગ્યે કથિતપણે છેવાડાનાં પાત્રો અને એમની કારકિર્દી આપણી સામે આવી રહી છે. આ વાત શક્ય બની તેમાં ઇતિહાસના અભ્યાસીઓનો, ચાલુ રાજકારણથી ઊંચે ઊઠી શકતા જાહેર જીવનના જણનો આપણે પાડ માનવો જોઈએ અને મહાશ્વેતાદેવી જેવા સર્જકોનો પણ, જેમણે અપરિચિતોને ઓળખી બતાવ્યા… અને હવે, આરંભે કીધેલ જોગાનુજોગ બાબતે લગાર ફોડ પાડું? આ મહાશ્વેતાદેવીનું શતાબ્દી વર્ષ પણ છે (જાન્યુઆરી ૧૪, ૧૯૨૬ : જુલાઈ ૨૮, ૨૦૨૬).

સર્જક મહાશ્વેતાદેવીની એક મોટી સેવા એમણે આપણને આદિવાસીઓથી માંડી કથિત ડીએનટી જાતિઓ સહિત અણપ્રીછ્યા તબકાને ઓળખતા ને ચાહતા કર્યા એ લેખાશે. મહાનગરોમાં ઘોલકાતી જિંદગી બસર કરતા ચાલવાસી હોય કે કોલસાની ખાણોમાં રવરવતા શ્રમજીવી, એમના જીવન પરિચય પોતાની પ્રતિબદ્ધ કલમચર્યાએ કરાવતા પિતા મનીષ ઘટક (હાજી, એ જ ઘરાણું, જે જમાતજુદેરા ફિલ્મકાર ઋત્વિક ઘટકનું પણ) અને પર્લ બર્કને બાંગલાવગાં કરતી માતા ધરિત્રીદેવીનું આ સંતાન- એટલે મુખ્ય પ્રવાહની બહાર જવાની ને હાંસિયાજીવી સમુદાયો સાથે કથિત મુખ્ય પ્રવાહને મુખોમુખ કરવાની એને ક્યાંથી નવાઈ હોય.
બને કે મોટા ભાગના ગુજરાતને મહાશ્વેતાદેવીનો પ્રારંભિક પરિચય કદાચ ‘રુદાલી’ જેવી ફિલ્મથી થયો હોય. મારી પ્રારંભિક સાંભરણ જેમ એમના થકી બંધાયેલા મુંડા-માયાની છે તેમ ‘હજાર ચુરાશીર મા’ વિશે સુરેશ જોષીએ વન્સ અપોન અ ટાઇમ સાપ્તાહિક કોલમમાં આલેખવા માંડેલી પરિચયમાળાની છે. સુરેશભાઈની કોલમકારીના એ ગાળામાં જ આપણા બે, ‘રહેને કો ઘર નહીં: ઔર સારા જહાં હમારા’ જેવી જિંદગી બસર કરતા એમએલ મિત્રો અશ્વિન ને કર્દમ પાસેથી જાણવા મળેલું કે નિઃસ્પૃહા દેસાઈ એક હજાર ચોરાસીની માને ગુજરાતમાં અવતારી રહ્યાં છે.
ફિલ્મ તો તે પછી મોડેથી આવી, જયા ભાદુરીના અભિનયમાં, પણ મહાશ્વેતાદેવીએ માંડેલી આ વાર્તા ૧૯૭૪માં, જોગાનુજોગ જેપી આંદોલનના અરસામાં, પ્રગટ થઈ હતી. જોગાનુજોગ કહું છું તે એટલા માટે કે એનું વસ્તુયે એક જુદે છેડેથી ચાલેલ પરિવર્તન આંદોલનનું હતું. નક્સલ ચળવળની પૃષ્ઠભૂ પર, એમાં સામેલ પુત્રને પગલે નિર્ભ્રાંત-મુક્ત-પ્રવૃત્ત થતી માતાની આ દાસ્તાન છે. નક્સલ પુત્ર માર્યો ગયો છે. એક અણઓળખી લાશ નંબર એક હજાર ચોરાસી રૂપે પડ્યો છે. દકિયાનુસી બાપ એને ઓળખવા બાબતે ચહીને આઘા રહેવું પસંદ કરે છે. પણ સુજાતા (મા) એમ પાછી પડતી નથી. ભદ્રવર્ગી ગિન્ની (ગૃહિણી) જાણે કે પિતૃસત્તાક, પુરુષપ્રધાન ને સામન્તી એવી સમાજ – અને – શાસનપ્રથાથી ઊંચે ઊઠે છે.
સુજાતાનું પાત્ર વાંચતે વાંચતે ઊઘડતું આવતું હતું ત્યારે મને સાથોસાથ થઈ આવતું સ્મરણ મેક્સિમ ગોર્કીની ‘મધર’ (૧૯૦૬)નું અને ઇબ્સનની નોરા (‘ડોલ્સ હાઉસ’, ૧૮૭૯)નું હતું; અને હા, એમ તો, ઘરઆંગણે સત્યજીત રાયની ‘મહાનગર’ (૧૯૬૩)ની નાયિકા આરતી (માધવી મુખરજી)નુંયે. સત્યજીતની આરતી એક ભદ્રવર્ગી ગિન્ની છે, અને કુટુંબની આવકખોટ પૂરવા એ પહેલી વાર ઘરની બહાર કામે ચડે છે. મહિનો વીત્યે હાથમાં પગાર આવે છે, કડકડતી નોટોનો! એ પર્સમાં તો મૂકે છે, પણ હાય પેલી કડકડતી અનુભૂતિ… વારે વારે ‘ફેસિલિટી’માં જાય છે અને પેલી નોટોને હાથમાં લઈ પુનઃ પુનઃ રોમાંચ અનુભવે છે. એક અર્થમાં આ સ્મિત પણ મુક્તિનો સ્પંદ હતો. આવતી કાલે કદાચ એ ઇબ્સનની નોરા પેઠે બારણું ધડામ વાસી બહાર પણ નીકળી પડે.
પણ મને ‘મધર’ કેમ આકર્ષે છે, કહું? નિરક્ષર છે, કોઈ આઇડિયોલોજીનો કે વ્યાપક સમાજઘટનાનો અમથો પણ અહેસાસ નથી, કામદાર પુત્રનું સભાન થવું, ચળવળમાં જોડાવું, અને મદદ કરવા છૂપી પત્રિકાનું વિતરણ કરવું એમ મા બેપ્ટાઈઝ થતી જાય છે અને આંદોલન યુનિવર્સિટીની સ્નાતક પણ… ઘરખૂણાની રોજિંદી જિંદગીને બદલે એક નવઉઘાડની કહાણી — બિરસાની સાથે કહીએ તો ઉલગુલન અને ક્રાંતિકારી પરિવર્તન! zમહાશ્વેતાદેવીની સુજાતા, બને કે, ગોર્કીની અમ્મા પેઠે ખીલવા કરે.
લેનિન જેને ‘ઇન્ફન્ટાઈલ + એડવેન્ચરિઝમ’ તરીકે કદાચ ખપાવે એવી નક્સલ કુરબાની પિતાને ન સ્પર્શી પણ આ પ્રક્રિયા દરમિયાન માતાને સ્પર્શીયે જાય… નવજાતા સુજાતા, ક્યાં છો તું? સામાન્યપણે ડાબેરી રુઝાન સારુ જાણીતાં મહાશ્વેતાને ક્રાંતિનો જે વીંછી ડંખેલો એમાં સર્જક સહજ સહૃદયતાનેય કંઈક સ્થાન હતું. એટલે સ્તો નંદિગ્રામ ઘટના વખતે ડાબેરી સરકાર સામે પ્રતિકારમાં એ પહેલી હરોળના બૌદ્ધિક તરીકે બહાર આવી શક્યાં હતાં. શતાબ્દી વંદના સમેટતાં રૂડું સ્મરણ કે નારાયણ દેસાઈના નિમંત્ર્યાં એ સાહિત્ય પરિષદમાં અતિથિવિશેષ રૂપે સામેલ થયાં હતાં.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૪-૨-૨૦૨૬ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ : ભારતીય ચિત્રકારની નજરે ઈન્ગ્લેન્ડ
બીરેન કોઠારી
૧૯૭૯ના જાન્યુઆરીથી સપ્ટેમ્બરનો, આશરે નવેક મહિનાનો લંડનનિવાસ ભૂપેનના ત્યાર પછીના જીવન માટે અતિ મહત્ત્વનો બની રહ્યો હતો. લંડનમાં રહીને તેમણે અંગ્રેજોના રોજિંદા જીવનને નજીકથી જાણ્યું. એ જીવન વિશેનાં ચિત્રો બનાવ્યાં અને એ ચિત્રો ત્યાં પ્રદર્શિત થયાં ત્યારે અંગ્રેજોને એ બાબતમાં રસ પડ્યો કે એક ભારતીય કલાકાર અંગ્રેજી જીવનને કઈ રીતે જુએ છે. આ શ્રેણીનું એક ચિત્ર Man in pub અગાઉ આપણે અહીં જોયું.
આવું જ એક અન્ય જાણીતું બનેલું ચિત્ર હતું The weatherman/હવામાનવેત્તા. ‘ધ વેધરમેન’ ચિત્ર બનાવવા પાછળની કથા પણ રસપ્રદ છે. ભૂપેને નીરખ્યું કે અંગ્રેજો હવામાન બાબતે આખો દિવસ ચિંતિત હોય છે. એમની વાતચીતનો મુખ્ય વિષય હવામાનની આસપાસ જ હોય છે. એક ભારતીયને આ વાત રમૂજી લાગે એ સ્વાભાવિક છે, કેમ કે, ભારતમાં હવામાન વિશે ભાગ્યે જ વાત થતી હોય.

Jack Scott જેક સ્કૉટ નામનો એક હવામાનવેત્તા ટી.વી. પર સતત દેખા દેતો અને હવામાન અંગેની માહિતી આપતો રહેતો. ભૂપેનને એ જોવાની મઝા આવતી. તેમના ચહેરાનો ઉપયોગ ભૂપેને આ ચિત્રમાં કર્યો. એક હવામાનવેત્તા પોતાની પત્નીને પ્રેમ કરવા માટે આગળ વધી રહ્યો છે, અને સ્પષ્ટ છે કે એ સ્ત્રી એને નન્નો ભણવાની છે. અંગ્રેજોના હવામાન અંગેના વળગણના પ્રતીકરૂપે ભૂપેને એના દીવાનખંડમાં હવામાનનો આલેખ અને વિશ્વનો નકશો ટીંગાડેલો બતાવ્યો.
આ જ ચિત્રમાં છેક દૂર બે માનવાકૃતિઓ દેખાય છે, જે આ જ દંપતિ છે.

Portrait of Joe and Mary Hope ચિત્રમાં અંગ્રેજોના ઘરનું આંતરિક સુશોભન, દીવાલો અને ફરસ પરના ગાલીચાની ડિઝાઈન સુદ્ધાં ચીતરેલી છે. આ ચિત્ર પ્રદર્શિત કરવાનું હતું ત્યારે ભૂપેને નિમંત્રિતોની યાદીમાં જેક સ્કૉટનું નામ ખાસ લખાવેલું. જેક સ્કૉટ આવ્યા પણ ખરા. તે પોતાનો ચહેરો ઓળખી ન શક્યા, પણ ચિત્ર જોઈને રાજી થઈ ગયેલા. તેમણે કહેલું કે એમના ઘરમાં એવા જ હવામાનના નક્શા છે. દુનિયાનો નક્શો શયનખંડમાં નથી, ફ્રીજ પાસે છે. એમણે કહ્યું કે ચિત્રમાં છે એવી બારી પણ એમના ઘરમાં છે.
લંડનમાં બનાવેલું ભૂપેનનું વધુ એક ચિત્ર એટલે Butcher’s Shop in London/લંડનમાં કસાઈની દુકાન.

Butcher’s shop in London બાથ એકેડેમી કે જ્યાં ભૂપેન ભણાવવા જતા ત્યાંના વડા જો હોપ અને એમનાં પત્ની મેરી હોપનું પોર્ટ્રેટ ભૂપેને બનાવેલું. એ પોર્ટ્રેટમાં પશ્ચાદભૂ લંડનની છે, પણ તેની શૈલી ભારતીય લઘુચિત્રોની છે.

Portrait of Joe and Mary Hope લંડનમાં યોજાયેલા ભૂપેનના ચિત્રપ્રદર્શને ત્યાંના કળારસિકોમાં ભારતીય ચિત્રકળામાં રસ જાગ્રત કર્યો. આ પ્રદર્શનમાં ભૂપેને બનાવેલાં અન્ય ચિત્રો પણ મૂકવામાં આવ્યાં હતાં.
(ચિત્રો નેટ પરથી)
[ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સજનવા | રાધાની છાતી પર ઝૂકીને
સજનવા
મુકુલ ચોકસી
શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા.હાથમાં પકડ્યો તમારો હાથ તો લાગ્યું સજનવા
મન પ્રથમ વાર જ ઊઘાડી પોપચાં જાગ્યું સજનવા.હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા
પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા.કોરા અંતરપટના કંઈ ઓછા નથી કામણ સજનવા
આપણે નાહક ઉપર શાં કરવાં ચિતરામણ સજનવા.સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા
થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવુ સજનવા.સાવ અલગ રીતે મુહબ્બતને છતી કરીએ સજનવા
આપને મળવાની સઘળી તક જતી કરીએ સજનવા.હાથમાં દરિયાઓ રાખીને દઈશ દસ્તક સજનવા
ના મળે ઉત્તર તો ચાલ્યો જઈશ નતમસ્તક સજનવા.ખાલી કૂવાના અને કોરી પરબનાં છે સજનવા
આ બધાં સપનાં રાબેતા મુજબના છે સજનવા.ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા.
રાધાની છાતી પર ઝૂકીને
કિસન સોસા
રાધાની છાતી પર ઝૂકીને, કોક વાર રોયા હશે ઘનશ્યામ,
હિમાળા ઢાળેથી ઢળ્યું હશે, પછી શ્યામલી જમનાનું નામ.રાધાના સ્કંધ પર ઢાળીને શીશ, ક્હાન ટહુક્યા હશે એવું વેણ,
ઓઢણીને દાંતમાં દાબીને, રાધાએ ઢાળી દીધા હશે નેણ.સૌરભના મધપૂડા બંધાયા હશે, પછી વૃંદાવને ફૂલ ફૂલમાં,
કેસૂડાં પથપથ કોળ્યા હશે, હશે ગુલમોર ખીલ્યાં ગોકુળમાં.રાધાને કાંઠડે બેસીને, ક્હાનજી એ પીધાં હશે મીઠા વાધૂ,
લીલાછમ ઘૂંટડા ન્યાળીને મોર મોર બોલ્યા હશે સાધુ, સાધુ.ક્હાનજીની છાતીએ ઘોળાયું હશે, પછી રાધાનું કેસરિયું નામ
રાધાનાં રોમ રોમ ફૂટ્યાં હશે, હશે ઢોળાયું બ્રહ્માંડનું ગામ. -
એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૫ મું. : તૈયારીની તક ગુમાવી
પ્રકરણ ૪ થું – રણવાસમાં રક્તપાત થી આગળ
ઝવેરચંદ મેઘાણી
પરરાજ્યોની ડખલ દૂર થઇ. પછી તો પ્રજાને તૈયાર કરવાનો વખત હતો. પણ કેટલી કેટલી પ્રજાઓએ એવી તૈયારી કરવાની તકો ગુમાવી નાખી છે ! કોરીયાના રાજ્ય–તંત્રમાં સડો પેઠો. સારા આદમીને એમાં સ્થાન નહોતું. પરદેશીઓની મદદ વિના જ દેશની દુર્દશા મંડાણી.
પ્રજાની આ દુર્દશા ઉપર દેશનો એક પ્રાણ ફિકર કરતો કરતો જાગતો હતો—એ જ્વાળામય દેશભક્ત જેઇસન. એના મનમાં ઉમેદ હતી કે સરકારમાં નોકરી મેળવીને માતૃભૂમિની સેવા કરીશ. પણ રાજવહીવટના એ પ્રાણહીન યંત્રમાં જેઇસને પોતાનું સ્થાન ક્યાંયે ન જોયું.
એણે બહાર રહીને દેશની નજર સામે આદર્શ ધરવા મનસૂબો કર્યો. બે વર્તમાનપત્રો કાઢ્યાં, ને એક
સ્વાતંત્ર્ય સભા.
કાઢી. એક દીવાની જ્યોતમાંથી અનેક દીવા પ્રગટાવાય, તેમ ત્રણ મહિનામાં તો સ્વાતંત્ર્ય–સભાને ચોપડે દસ હજાર વીરોનાં નામ નોંધાયાં. કોરીયા સરકારની કાળી કિતાબને પાને
પણ એ દસ હજાર નામ ચડી ચુક્યાં. પ્રજાનો આત્મા જાગે એ અધિકારીઓથી શી રીતે સાંખી શકાય ?
સ્વાતંત્ર્ય સભા માત્ર ભાષણોજ નહોતી દેતી. માત્ર ચર્ચાઓજ નહોતી કરતી. એણે શું કર્યું ? જ્યારે કોરીયાની સરકારે પોતાના સૈન્યને તાલીમ દેવાનું રૂશીઆને સુપ્રત કર્યું, ત્યારે એ દસહજાર સભાસદો રાજમહેલને ઓટે ખડા થયા, અને રાજાને અરજ ગુજારી કે રૂશીઆના અમલદારોને નિકાલો, કરારનામું ફાડી નાખો, ત્યાર પછીજ આંહીંથી અમે હટવાના. રાજાનો બીજો ઈલાજ નહોતો. દસહજારની ભુજાઓમાં નવું બળ આવ્યું. રાજાની આગળ એણે નવા સુધારાનો ખરડા ધર્યો.
૧. પરદેશી ડખલગીરી છોડો.
૨. વિદેશીઓને હક્કો આપવામાં વિવેક રાખો.
૩. રાજ્યદ્વારી ગુન્હેગારોનો છડેચોક ઇન્સાફ કરો.
૪. રાજ્ય ખરચની બદીઓ દૂર કરો.
૫. લોક–પ્રતિનિધિ મંડળ સ્થાપો.રાજાજીને આ વાતો વસમી લાગી. એણે આજ્ઞા દીધી કે એ મંડળને જ વિખેરી નાખો.
દસ હજારે શું કર્યું ? જાલીમની સામે એણે શસ્ત્રો ન ઉગામ્યાં. અહિંસાના સિદ્ધાંતને બરાબર સમજનાર આ પ્રજાએ એક કાંકરી પણ ન ફેંકી. પોલીસ થાણાંઓની અંદર જઈને હાથ ધર્યા કે “પહેરાવો બેડી.”
દસ હજારને પૂરવાનાં જેલખાના ક્યાં ? શરમાતે મ્હોંયે પોલીસે ફક્ત સત્તર સરદારોને પકડ્યા. પાંચમા દિવસની પ્રભાતે તે બંદીખાનાં ખોલાયાં ને સુધારા મંજુર થયા.
જેવા લોકો ઘેર પહોંચ્યા તેવી જ સુધારાની વાત જ ઉડી ગઈ. ઠગાયેલી પ્રજા રોષે ભરાણી. ઠેર ઠેર ટોળાં મળ્યાં. સીપાહીઓને હુકમ મળ્યો કે ગોળીઓ ચલાવો.
એકે એક સોપાહીએ કમર પરથી પટા ખોલીને નીચે ફેંક્યા. ટોપી પરના બીલ્લા તોડી નાખ્યા. બંદુકો ભેાંય પર ધરીને બોલ્યા કે “માફ કરો, પ્રજાથી અમે નોખા નથી.”
સરકાર સમજી ગઈ કે સીપાહીઓની અંદર હુજુ થોડી ઘણી અનુકપ્પા રહી ગઈ છે. પછી એણે કાઢ્યા સોલ્જરોને સંગીનની અણીએ સોલ્જરોએ તે દિવસે તો લોકોનું દળ વિખેર્યું. બીજી પ્રભાતે આવીને જુએ તો હજારોની સંખ્યામાં પ્રજા રાજમહેલની સન્મુખ ખડી થઈ હતી. ચૌદ દિવસ ને ચૌદ રાત્રીઓ એ હજારોએ ત્યાંને ત્યાં ગુજારી. કોરીયાની પ્રજા દુભાય ત્યારે આવું તાગું કરે. રાજાઓના લોખંડી હૃદય બીજી શી રીતે પલળે ?
રાજાને નમવું પડ્યું. માગેલા સુધારા મંજુર થયા લોકોએ જય–ઘોષ કર્યો. પણ બહુ ઉતાવળ થઈ ગઈ. લોકોની અંદર અંદર જ ફાટફૂટ થઈ. સુધારાનો કાગળીયો ફરીવાર હવામાં ઉડ્યો. લોક નાયક સીંગમાન બંદીખાને પડ્યો. કારાવાસના જુલ્મોની કથા આપણાથી ક્યાં અજાણી છે ? એક રાત્રીએ સીંગમેનને સમાચાર મળ્યા કે “આવતી કાલે તારો પ્રાણ લેવાશે.” બંદીવાન આનંદમાં નાચવા મંડ્યો.
પણ સરકારની એક ન્હાની સરખી ભૂલ થઈ ગઈ ! સીંગમાનને બદલે એની પડખેની ઓરડીવાળા બીજા કોઇ કેદીનો ઘાત કરવામાં આવ્યો. સીંગમાન બચી ગયો. છ વરસના કારાવાસ પછી ૧૯૦૪ માં એ છુટ્યો.
રૂસ–જાપાનની લડાઈ જામી. કોરીયાનો કોળીયો કરી જવા આ બન્ને રાષ્ટ્રો રાહ જોતા બેઠેલા હતા. રૂશીઆનું પરિબળ કોરીઆ ઉપર વધ્યું. કોરીયાએ પણ રૂશીઆનો પક્ષ લીધો. જાપાને યુદ્ધ જાહેર કર્યું. કોરીયાને કિનારે ઉભેલાં રૂસ જહાજો ડુબાવ્યાં; કોરીઆ–નરેશનો મહેલ કબજે કર્યો, અને આખા દેશ ઉપર સૈન્ય છોડી મૂક્યું. આ રીતે એક સુંદર, સંસ્કૃતિશાળી, ને શાંતિમય રાષ્ટ્રની સ્વતંત્રતાનો અંત આવ્યો. જાપાનનો મનોરથ સફળ થયો.
આખા જગતની ઉઘાડી આંખ સામે એકદમ તો એક દેશ બીજા દેશને શી રીતે મોંમાં મૂકી શકે ? જાપાન કોરીયાને કહે કે તમારી સ્વતંત્રતા અમારે મંજૂર છે. અમે તો તમને એ કાગળ ઉપર પણ લખી આપ્યું છે. એથી વધુ શું ખાત્રી માગો છો ? માત્ર તમારે એના બદલામાં અમારી સલાહ લેવાનું રાખવું, અને રૂશીઆના પંજામાંથી તમને બચાવી લેવા માટે અમે જે યુદ્ધ આરંભ્યું છે, તેમાં અમારાં સૈન્યો પસાર થવા દેવા તમારે જરૂર પૂરતી સગવડ આપવી. આ જહેમત અમે કેવળ તમારે ખાતર ઉઠાવી છે.
કોરીયા–નરેશ કહે, “અફેશાન તમારો”
પછી ધીરે ધીરે તમાશો શરૂ થયો. કોરીયાના પરદેશ ખાતાના મંત્રીઓ તરીકે જાપાનીઓ નીમાયા. ટપાલખાતું ને તારખાતું જાપાને કેબ્જે કર્યું. જાપાની લશ્કરીઓ નીમાયા. જાપાની અધિકારીની રજા સિવાય રાજદ્વારી સભા ન ભરાય. આની સામે અવાજ ઉઠાવનાર કોરીયાવાસીને માટે કારાગ્રહ અગર કાળું પાણી જાપાની મજુરોથી દેશ ઉભરાઇ ગયો. એ મજુરોને કોરીયાનો કાયદો લાગે નહિ, એટલે મજુરો ચોરી કરી શકે, કોરીયાવાસી પર ચાબુકો ચલાવી શકે, ને શોખ થઇ આવે તો ખૂન પણ કરી શકે.
કોરીયન શહેરાનાં નામ પણ બદલીને જાપાની નામ રાખવામાં આવ્યાં ! લશ્કરી કાયદો ચાલ્યો; રેલ્વેની બન્ને બાજુની અપરંપાર જમીન પ્રજાની પાસેથી, ખરી કિમતના વીશમા ભાગની કિમતે ખંડી લેવામાં આવી. કારણ, લશ્કરી જરૂરીઆત !
લશ્કરી જરૂરીઆતને બ્હાને ઝુંટી લીધેલી આ જમીન ઉપર જાપાની દુકાનો ચણાઈ, જાપાની કારખાનાં ને જાપાની પરાં ખડાં થયા.


આવતા અંકેઃ પ્રકરણ ૬ ઠું.- દાનવને ચરણે રક્તની ભેટ.
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
-
સદાબહાર સૂર- શ્રી અવિનાશ વ્યાસ- માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઉગ્યો
આલેખનઃ રાજુલ કૌશિક
સવારે ઉઠીએ ત્યારે આપણે આંખ સામે કરસંપુટ રાખીને મનોમન પ્રાર્થના કરીએ છીએ…
“કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી |
કરમુલે તુ ગોવિંદ: પ્રભાતે કરદર્શનમ્.પણ, એ કરસંપુટને વળોટીને જ્યારે નજર સામે ફેલાયેલું અચરજ દેખાય ત્યારે એ સવાર કેટલી સુંદર બની જાય!
બસ બરાબર આજે એવું જ થયું. આજની ઉઘડતી સવાર કલ્પનાની પરે કહી શકાય એવી હતી. આમ તો આ શિયાળાના દિવસોમાં સૂર્યનારાયણ પણ જરા મોડા જ ઊઠે. કદાચ એમને પણ આ આખી રાતની ટાઢી ચાદર ખસેડીને આપણી જેમ બહાર નીકળવાનું મન નહીં થતું હોય, પણ જ્યારે એમણે જરા અમસ્તું ડોકિયું કર્યું તો જાણે રાતુંચોળ કંકુ ખર્યું હોય એમ આખું ગગન ઝળહળ ઝળહળ…
પૂર્વાકાશમાં તો જાણે બ્રહ્મે પાથરેલા ચંદરવાને ઉજાળવા કંકુ છાંટણા થયા કે જગતજનનીએ આ જગતને નવી પ્રભાતના પ્રારંભના એંધાણ આપતા અજવાસ પાથર્યા?
એ જોઈને મનમાં મંદિર સર્જાયું, કાનમાં ઘંટારવ ગાજ્યો, દિલમાં દીવડો ઝળહળ્યો અને હૈયેથી હોઠ સુધી અવિનાશભાઈના શબ્દો સર્યા..
‘માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઉગ્યો..
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.’‘માડી તારું કંકુ’ માત્ર એક ગરબો જ નથી, પણ એક ચિરસ્મરણી ભક્તિરચના છે એટલે આજે પણ પ્રભાતના સમયે જગતજનનીના ભાલેથી ખરેલાં કંકુથી લાલચટક બન્યું હોય એવું આકાશ જોઈને અવિનાશ વ્યાસ યાદ આવે.
દરેક એક વ્યક્તિની એવી આભા હોય જેના વિશે વિચારીએ તો પણ એ આભા આપણા સુધી પ્રસર્યા વગર રહે જ નહીં. “માડી તારું કંકુ” જેવી આટલી હૃદયના તળ સુધી સ્પર્શતી રચનાની સાથે એના રચયિતા અવિનાશ વ્યાસના વ્યક્તિત્વની આભા મન પર ઉપસ્યા વગર રહે ખરી? ગીતકારના ભાવ કે ભક્તિ આપણા સુધી પહોંચ્યા વગર રહે ખરા? આજે પણ અનેક સ્વરકારો-ગાયકો તેમના સૂર-તાલ થકી ગુજરાતી સંગીતને આગળ લાવી રહ્યા છે, પણ જો એ દીવડાની જયોત વધુ તેજ, વધુ ઝગમગતી કોઈએ કરી હોય તો તે છે અવિનાશ વ્યાસ.
સાંભળ્યું છે કે અવિનાશ વ્યાસ માતાજીના પરમ ભક્ત હતા. એમણે રચેલા માતાજીના ગરબા પણ એમની પરમ ભક્તિને લઈને જ સ્ફૂર્યા હશે. આમ જોઈએ તો ગરબો એટલે કે ગર્ભદીપ એ આપણી સંસ્કૃતિનું મંગળ પ્રતીક છે. પરંપરાગત ગરબાને શાસ્ત્રીય સ્પર્શ આપવાનું અને કેટલાંક અર્વાચીન ગરબાનું સર્જન કરવાનું શ્રેય ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસને જાય છે. ગુજરાતી ગરબાને લોકપ્રિય બનાવવામાં એમનું પ્રદાન અનોખું છે. ગરબા વિશે અવિનાશ વ્યાસના વિચારો-ભાવના અત્યંત સ્પષ્ટ હતા.
અવિનાશ વ્યાસ ગરબાને અનુલક્ષીને કહેતા કે ‘ગરબાને સ્વર સાથે સગપણ છે, ગરબાને કવિતા સાથે નાતો છે, ગરબાને તાલ સાથે તાલાવેલી છે.’ વળી સહેજ આગળ વધીને કહેતા કે ‘ગરબાને થોડું ઘણું નૃત્ય સાથેય અડપલું કરવા દઈએ, પણ ગરબાનું ‘વ્યક્તિત્વ’ કોઈ પણ સ્થળે કે કોઈ પણ સંજોગે ઘવાવું ન જોઈએ.’ આમ જોઈએ તો ગરબા ગાવાની-ગવડાવવાની-સાંભળવાની આ ભવ્ય પરંપરાને અવિનાશભાઈએ સાર્થક કરી છે. ગુજરાતીઓનો અવાજ અને અંદાજ, રણકાર-ઝણકાર, લય-તાલ બધું જ એ એમની રચનામાં પીરસતા.
અવિનાશભાઈના ગરબા સંગ્રહ ‘વર્તુળ’ના આમુખમાં તેમણે લખ્યું છે કે ‘વર્તુળનો અર્થ માત્ર ગોળાકાર સુધી સીમિત નથી. તેનું પણ એક વ્યાકરણ છે. ગરબાની નૃત્યરચના વર્તુળ તો ખરી જ પણ એનાથી ય ઉપર ગરબાના શબ્દોનું, ગરબાનાં કાવ્યોનું, ગરબાના શણગાર તથા ગરબાનાં ગીત સંગીતનું, તાલનું, તાળીઓનું પણ એક વિશિષ્ટ વર્તુળ હોય છે.’
કેટલાકને પ્રશ્ન થાય કે, ગરબામાં રાધા-કૃષ્ણ, મીરાં આવે? તો એનો જવાબ અવિનાશ વ્યાસ પાસે છે, જેમાં ગરબો કહે છે કે, આકાશને ખોળે હું જન્મ્યો, જગદંબાએ હાલરડું ગાયું, દૂધગંગાએ દૂધ પીવડાવ્યું અને સ્વર્ગના અધિકારી શ્રીકૃષ્ણએ મને રાસ રમતાં શીખવ્યું. આથી ગરબાનું સ્વરૂપ કોઈ પણ હોઈ શકે. ફક્ત એમાં ગરબાનો ઠેકો, લય અને તાલનું સંયોજન સુંદર રીતે થયું હોવું જોઈએ.
ગરબાની સાથે ચાચરના ચોકનો તો જાણે સનાતન સંબંધ. પહેલાં ક્યાં આવા ડી.જે. કે ધાંધલિયા સંગીત હતા? ત્યારે તો ચાચરના ચોકમાં માતાજીની છબી ગોઠવાય, અખંડ દીવો પ્રગટાવાય અને આરતી સાથે ગરબાનો ઉપાડ થાય ને પછી તો રમઝટ જામે.
અવિનાશભાઈએ પારંપારિક લોકધૂનમાં શાસ્ત્રીય સ્વરો ઉમેરી તથા મૂળ સંસ્કૃતિને અકબંધ રાખીને ખૂબ સુંદર ગરબા રચ્યાં. એમણે લખેલા ગરબામાં ત્રણ ગરબા “માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો”, “હવે મંદિરનાં બારણાં ઉઘાડો” તેમજ “માડી તારા મંદિરીયે ઘંટારવ થાય” તો લોકપ્રિયતાની સીમા વટાવી ચૂક્યાં છે.
સમગ્ર ગુજરાતીઓનું રાષ્ટ્રગીત જેમ ‘આંખનો અફીણી’ છે એમ કહેવાય છે કે નાગરોનું રાષ્ટ્રગીત ‘માડી તારું કંકુ ખર્યું’ ગીત છે.
અવિનાશ વ્યાસનો દર વર્ષે અંબાજી દર્શને જવાનો નિયમ હતો. માતાજીની સન્મુખ ઊભા હોય, દર્શન કરતાં જાય, આંખમાંથી આંસુનો અભિષેક વહેતો જાય ને ગીતની રચના થતી જાય. મૂળે અવિનાશ વ્યાસ પ્રકૃતિથી અત્યંત સૌમ્ય અને સહૃદયી. અવિનાશ વ્યાસને ઓળખતી એમની સમવયસ્ક પેઢીની વ્યક્તિઓ જ્યારે અવિનાશ વ્યાસ વિશે વાત કરે ત્યારે એમની વાતોમાંથી એમનું એક ચિત્ર તૈયાર થાય. અવિનાશ વ્યાસને અત્યંત નજીકથી ઓળખતા પત્રકાર સ્વ.શશિકાંત નાણાવટી કહેતા કે “અવિનાશભાઈ સ્વભાવે અત્યંત મૃદુ અને ઋજુ હૃદયના હતા, કોઈ પણ વસ્તુ એમને સ્પર્શે એટલે એમની આંખમાં આંસુ આવી જતા.”
મુંબઈ ભગિની સમાજના કર્તા કલ્લોલીનીબેન હજરતના મતે ‘અવિનાશભાઈ અત્યંત પ્રેમાળ અને લાગણીશીલ સ્વભાવના હતા. માતાજી પરની અપાર શ્રદ્ધાને લઈને જ્યારે એમની સન્મુખ માતાજીને જોતાં ત્યારે અત્યંત ભાવવિભોર બની જતા. આવી ભાવવિભોર મનોસ્થિતિમાંથી જે રચાય એને તો માતાજીના આશિષ જ હોય અને એ રચના ચિરંજીવ બની જાય. માટે જ આજે અને આવતા અનેક વર્ષો સુધી અવિનાશ વ્યાસ અને એમના આટલા ભાવવાહી ગીત, ગરબા સૌને પણ ભાવવિભોર બનાવતા જ રહેશે.
રાસબિહારી દેસાઈ કહેતા, “તમે સંશોધન કરો, મારી ખાતરી છે કે, આપણી ભાષામાં ઉચ્ચકોટિના કે ગણનાપાત્ર કવિઓની રચના જેટલી-જેવી ગવાઈ છે, જેને ખરેખર કવિતા કહેવાય તેવી કૃતિઓ આપણે ત્યાં સ્વરબદ્ધ થઈ છે તેટલી બંગાળ-મહારાષ્ટ્રને બાદ કરતાં ભારતની અન્ય કોઈ ભાષામાં નથી થઈ.’
લિખિત ગુજરાતી કવિતાઓની જેમ, સ્વરબદ્ધ ગુજરાતી રચનાઓ પણ પાંચ સદી કરતાં વધારે સમયથી આપણી સંગીત તૃષા જ નહીં આપણી પરંપરા અને સંસ્કૃતિના ઉપવનને પોષી રહી છે. પ્રથમ સ્વરકાર કોણ? જવાબ છે, નરસિંહ મહેતા. ત્યારબાદ પ્રેમાનંદ અને અન્ય આખ્યાનકારો, માણભટ્ટોએ એ પરંપરાને જીવાડી.
ત્યારબાદ આવ્યું જૂની રંગભૂમિનું સંગીત અને આઝાદીની ચળવળની પ્રભાતફેરીઓ પરંતુ સંગીતના આ લોક ઢાળને આકાશવાણીએ ઘાટ આપ્યો, શ્રુતિ તથા સૌરાષ્ટ્ર્ની તેમજ શિવરંજની જેવી સંસ્થાઓએ તેનું પોત ઘડ્યું. સંખ્યામાં થોડા પરંતુ સર્જન-સમજમાં બહોળા કલાકારોએ જે કાવ્ય સંગીતની બારમાસી સરિતા વહાવી છે, એમનાં નામો ક્યારેય નહીં વિસરાય. ગુજરાતી કાવ્યસંગીતનું સંવર્ધન કરવામાં ત્રણ પેઢીનું પ્રદાન રહ્યું છે, તેમાં અવિનાશ વ્યાસનું નામ સદા વધારે ઊંચા સ્વરે જ લેવાશે. ગીત, ગઝલ, ગરબા, ભજન કોઈ પ્રકાર તેમણે બાકી રાખ્યો નથી. સંગીતચાહકો કહે છે તેમણે ગુજરાતને ગાતું કર્યું તે આજે પણ સાચું જ લાગે.
અવિનાશ વ્યાસે ગુજરાતને સંગીત અને કવિતાની ‘લોકપ્રિય’ અને ‘લોકશ્રવણીય’ વિરાસત આપી. સ્વર-સ્વરાંકનમાં, કંઠ-કામણમાં, અવાજ-અંદાજમાં, અવસર અને અસરમાં પણ…
‘રાખનાં રમકડાં’, ‘પાટણથી પટોળાં’,‘ઝૂકી પડ્યો ઊંચો હિમાલય’, ‘ઝમકેના ઝાંઝર’, ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ’ જેવી રચનાઓ આજે ૪૦ વર્ષના વહાણાં વાયા પછી પણ તાજી છે.
અવિનાશ વ્યાસની આ ભાવભક્તિસભર રચના સાંભળીએ ત્યારે આપોઆપ જગદંબાનાં ઉજ્જવળ ભાલેથી ખરતા કંકુનાં કણને ઝીલવા કરસંપુટ ધરી દેવાય છે.
-
મહેન્દ્ર શાહનાં જાન્યુઆરી ૨૦૨૬ નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s Art Creations for January 2026
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
જે કરવા જેવું છે તે…. કરવાથી જ થાય છે
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
જે કરવાનું છે તેની તૈયારીઓ કરતા રહેવાને બદલ, એ કામ કરી લઈએ :
‘હમણાં જ કરી લઈશું’ના ચક્રવ્યુહમાં મોટા ભાગના વ્યાવસાયિકો ફસાયેલા રહે છે.
એ વિશે બહુ વાંચ્યું હોય છે.
વાતો પણ કરી હોય છે.
આયોજન કર્યું હોય છે.
પોતાના કાર્યશૈલી એ અનુસાર બરાબર ગોઠવી પણ હોય છે.
‘યોગ્ય તક’ની જ રાહ જોતા હોય છે.પરંતુ હકીકતમાં?
ગમે તેટલું શીખ્યા, આયોજન કર્યું, કે સમયપત્રક ગોઠવ્યું, પણ કરવાની તોલે ન આવે.વસ્તુ બનાવવી.
ગ્રાહકની સાથે વાત કરવી..
પૉસ્ટ લખવી.
અપડેટ પહોંચતી કરવી.
એવું બધું.બીજું બધું ઉત્પાદકતાની આડમાં વિલંબ જ છે.
AI બહુ બધું સ્વયંસંચાલિત કરી શકે, પણ આપણા વતી પહેલું ડગલું ન ભરી શકે.
જે કરવાનું છે તે તો આપણે જ કરવાનું છે.
→ જે કરવા જેવું છે તે…. કરવાથી જ થાય છે.
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
નેતૃત્વ, સ્વ-જાગૃતિ અને તેને લગતું એક વૃતાન્ત
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
ગયા અઠવાડિયે, મારે એક અગ્રણી બી-સ્કૂલમાં વ્યક્તવ્ય આપવાનું થયું. તે પછી એમબીએના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરરવાની તક મળી. એ લોકો હવે પોતાનીની પહેલી નોકરી માટે તૈયાર હતા. તેમના ચહેરા પર આશા અને આકાંક્ષા છલકાઈ રહી હતી. એ લોકો મને પતંગિયામાં ફેરવાતા કોશેટા જેવા લાગ્યાં. ભ્ણતરની દુનિયાનું કોચલું ભેદીને હવે તેઓ વ્યવસાયની વાસ્તવિક દુનિયામાં દાખલ થવા થનગની રહ્યા હતાં.
મારી વાત સ્વ-જાગૃતિ (જેને આંતર-વૈયક્તિક પ્રજ્ઞા – ‘ intra-personal intelligence[1] ‘ – પણ કહેવાય છે) ના વિષયથી શરૂ થઈ. મેં ભાર મૂક્યો હતો કે આજે વ્યાવસાયિક જગતને એવા લોકોની વધારે જરૂર છે જેઓ પોતાની સહજ તેમજ હસ્તગત શક્તિઓ વિશે જાગૃત હોય, પોતે જે કરી રહ્યા હોય તેના પ્રત્યે ઉત્સાહી હોય. આ સંદર્ભમાં, મેં તેમને મારા મિત્ર નિશની એક વાત કહી.
શાળા પછી, જ્યારે નિશ કારકિર્દી પસંદગીના ચાર રસ્તે હતો, ત્યારે તેણે તેના પિતાને કહ્યું, “મને ઇલેક્ટ્રોનિક્સમાં એક ઇંચ જેટલી જગ્યા આપો અને હું તેમાંથી આખી દુનિયા બનાવીશ“. આ શબ્દો એવી વ્યક્તિના હતા જે તે સમયે સરેરાશ વિદ્યાર્થી લાગતો હતો, પરંતુ ઇલેક્ટ્રોનિક્સ પ્રત્યે તેનો ઉત્સાહ અદમ્ય હતો.
મને યાદ છે કે તેના ઓરડામાં પુસ્તકો વેરાયેલાં હોય અને દિવાલો પત વપરાયેલા પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ અને કેટલીક સોલ્ડરિંગ ગન લટકતાં જ હોય.સાથે હતો. શાળાના દિવસોમાં, જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ તેમના અસાઈન્ટમેન્ટ્સ અને પરીક્ષાઓમાં ખૂબ વ્યસ્ત (અને ઘણીવાર ચિંતિત) રહેતા, ત્યારે તે ટ્રાન્ઝિસ્ટર ભેગા કરતો અને ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કરતો. તેના પિતાએ તેને મંજૂરી આપી. એસ એસ સીના માર્ક્સને કારણે તેણે પહેલા ઇલેક્ટ્રોનિક્સમાં ડિપ્લોમા કોર્સ કર્યો. ડિપ્લોમામાં તેના ગ્રેડને કારણે તેને બેચલર ઓફ એન્જિનિયરિંગ કોર્સમાં સીધો પ્રવેશ મળી ગયો. તે પછી તેણે સેટેલાઇટ ઇલેક્ટ્રોનિક્સમાં એમ.એસ. અને યુકેમાંથી કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં પીએચ.ડી. કર્યું. તેની આ લાંબી શૈક્ષણિક સફરને ઇલેક્ટ્રોનિક્સ પ્રત્યેનો તેનો અપ્રતિમ લગાવ સતત પ્રવેગ દેતો રહ્યો.
નિશ એક સફળ ઉદ્યોગસાહસિક અને એક વ્યવહારુ ટેક્નોલોજિસ્ટ હોવાની સાથે સાથે નવું નવું કરતો જ રહે છે અને બીજાંને શીખવતો પણ રહે છે. તેણે શરૂઆતમાં જ તેની શક્તિઓને ઓળખી કાઢી અને તેના પર પોતાના જીવનનો પાયો નાખ્યો.
કારકિર્દી બનાવવાની સફર એ આપણી શક્તિઓને પારખવાની અને પછી તે શક્તિઓનો સંપૂર્ણ ઉપયોગ કરીને સકારાત્મક ફરક લાવવાની શોધ સિવાય બીજું કંઈ નથી. વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને શોધકર્તાઓ તરીકે આપણું લક્ષ્ય આપણી પસંદનાં ક્ષેત્રમાં પોતાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરવાનું હોય, તો પછી બધાં સન્માનો અને બાહ્ય પુરસ્કારો માત્ર આડપેદાશ બની રહે છે.
મારી વાત વિદ્યાર્થીઓના મનમાં ઘર કરી જાય અને વ્યાવસાયિક શ્રેષ્ઠતાના માર્ગ પર આગળ વધવા માટે તેમાંથી પ્રેરણા લે એવી શુભેચ્છાઓ.
[1] Intrapersonal Intelligence: A Comprehensive Guide – Kendra Cherry
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
ગયાના – નદીઓ અને જંગલોનો દેશ : ૧૧
પ્રીતિ શાહ-સેનગુપ્તા
રવિવારની વહેલી સવારે જૂથનાં પાંચ જણ અમેરિકા પાછાં જવા નીકળી ગયાં. હવે અમે નવ જણ રહ્યાં. પહેલેથી જ એ બધાંની ઇચ્છા હતી, કે નદીઓ પછી, ગયાનાનું જે બીજું જાણીતું પાસું છે તે, એટલેકે ત્યાંનાં જંગલો જોવા પણ જવું જ છે. એ માટેની ટૂર શોધવાનું કામ મને સોંપવામાં આવેલું. ન્યૂયૉર્કથી જ મેં કેટલીક સ્થાનિક ટૂર-કંપનીઓ સાથે ઇ-મેલો કરીને માહિતી મેળવેલી.
માહિતી મળે એટલે જૂથને જણાવવાનું. બધાં પસંદ કરે પછી જ બૂકિન્ગ કરાવી શકાય. કોઈને ખૂબ મોંઘી ટૂર નહતી જોઈતી; મચ્છરોવાળાં જંગલોમાં નહતું જવું; સૂવા માટે પથારીને બદલે, બહાર ઝુલા જ હોય તેવી જગ્યાએ રાત નહતી ગાળવી. ઉપરાંત, પસંદ પડે તેવી ટૂર દરરોજ હોય નહીં.
છેવટે, ઘણી ઇ-મેલોની આપ-લે કર્યા પછી, એક સ્થાનિક કંપની સાથે, મેં ગયાનાના મધ્ય પ્રદેશમાં રહેલાં વર્ષા-વન અને એક જળપ્રપાતને જોવા જવા માટેની ટૂર નક્કી કરી. તેર જ જણ માય તેવું, નાનકડું સેસ્ના પ્લેન લેવાનું હતું. તે માટેના નાના લોકલ ઍરપૉર્ટ જવાની ટૅક્સીના પણ ઘણા પૈસા આપવા પડ્યા. એટલેકે સ્થાનિક ટૅક્સીવાળાઓએ અમને છેતર્યાં!
બધાંની ટિકિટો અને પાસપૉર્ટ તપાસ્યા પછી અમારે એક કલાક બેસી રહેવું પડ્યું. પ્લેન બહારથી તો નાનું હતું જ, પણ અંદરથી વધારે સંકડાશ હતી એમાં. ખડખડ કરતું ઊપડ્યું પછી, નીચે પથરાયેલી ભૂમિ જોવામાં સંકડાશનો ભાવ ભુલાઈ ગયો.
આ વિહંગાવલોકનમાં, સૌથી પહેલાં તો, જ્યૉર્જ ટાઉન શહેર વ્યવસ્થિત સરસ ગોઠવાયેલું દેખાયું. સમાંતર જતી ગલીઓ, ને જોડાજોડ બનેલાં નાનાં ઘરનું દૃશ્ય બહુ પોતીકું લાગ્યું. પછી મેં નોંધ્યું, કે દરિયા પાસે જતા રસ્તા પર ખૂબ મોટાં ઘર હતાં. એ બધાંનાં, ફરતે ઊંચી દીવાલવાળાં, મોટાં કમ્પાઉન્ડમાં પ્રાઇવેટ સ્વિમીન્ગ પુલ અને બગીચા પણ હતા. “છે અને નથી”નો ભેદ સાથોસાથ દેખાયો, આમ ઉપરથી.

જ્યોર્જટાઉનના દરિયા પરના આખા ભાગમાં ઊંચી દીવાલ
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીશહેરના દરિયા પરના આખા ભાગમાં ઊંચી દીવાલ બાંધેલી છે. રસ્તા પરથી દરિયો દેખાય પણ નહીં. જોકે, દીવાલ પર ચાલી શકાય તેટલી એ પહોળી હોય છે, તે હવે દેખાયું. જ્યાં શહેરનો ખૂણો પડે છે ત્યાં, હવે મેં હોટેલ પગાસસનું મકાન ઓળખ્યું, અને આસપાસમાં બીજાં પણ બાંધકામ જોયાં.
અને દરિયો? આ હતો કાદવના રંગના પાણીવાળો ઍટલાન્ટીક મહાસાગર. ઓટનો સમય હતો, અને કિનારે કિનારે, પીળી માટી જેવા રંગના કાદવના પોપડા થઈ ગયેલા હતા. જોવું પણ ના ગમે.
ગયાનામાં ભાગ્યે જ એકાદ જગ્યાએ સારો સાગર-કિનારો છે. ઘણા ટાપુ-દેશોની પણ આ જ અવસ્થા હોય છે. સારા સાગર-કિનારા ના હોય તે જગ્યાઓ, સહેલાણીઓમાં પ્રવાસભોગ્ય ગણાતી નથી હોતી.
પ્લેન દરિયાથી દૂર વળી ગયું, અને નીચે હતી દરિયાઇ-પહોળા પટવાળી ઍસૅકીબો નદી. એની સાથે સાથે હજી જિયોનો પથરાટ નજરે પડતો હતો. કિનારા પર, કેટલીક જગ્યાએ નાની-મોટી હોડીઓ માટે ડક્કા થયેલા હતા. ક્યાંક, પકડેલી બહુસંખ્ય માછલીઓનો કાર્ગો જઈ રહ્યો હતો.

ઍસૅકીબો નદીના પટમાં બનેલા ટાપુ
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીનદીના પટમાં કેટલા બધા ટાપુ બનેલા હતા. એકદમ ઘેરા લીલા, ગાઢ જંગલોથી ભરેલા. પણ પટ એટલો પહોળો, કે એક્કેય ટાપુ વચમાં ના પડે, ને નદી સાંકડી થતી યે ના લાગે. જમીન પર સળંગ, સતત જંગલ હતાં. જાણે એક પણ કટકો ના થતો હોય તેવી જાજમ. ને ઉપરથી તો એક સરખી સપાટ લાગે.

ગયાના દેશમાં ગીચ જંગલ અમે આઠ હજાર ફીટની ઊંચાઈ પર જતાં હતાં. ક્યારેક વાદળોની ઉપર, ક્યારેક વાદળોની પાસે થઈને. સફેદ વાદળો, જાણે પીંજેલું રૂ, અને છૂટાં સ્તરોમાં બનેલાં હોય. સૂર્ય તો હતો જ, અને પ્રકાશ જંગલોની જાજમ પર સરસ પડતો હતો, પણ ફોટા લઈએ તો ઝાંખા આવતા હતા. એ પછી તો, દસ હજાર ફીટથી યે ઉપર ચડેલું આ નાનકડું વ્યોમ-યાન!
આ તો જાણે જાદુઈ ઉડ્ડયન હતું. ભૂમિ અને અવકાશની વચ્ચે ઊડતું નાનકડું આ સેસ્ના, તે જાણે સાવ હલકું એક પીછું હતું. સદ્ભાગ્યે, સાવ ફંગોળાઈ જઈએ એવી હવા નહતી.
નીચે એક નદી જતી હતી – સાવ પાતળી અને વારંવાર વળાંક લેતી. ચમકતો હતો એનો પ્રવાહ. પછી તો એવી બીજી કેટલીક નદીઓ પણ દેખાઈ. બધી એવી જ પાતળી અને વળ ખાતી. જાણે અળપસળપ જતા સર્પ, કે અસ્તવ્યસ્ત પડેલી ઘણી બો-પટ્ટીઓ.
ક્યારેક નદીઓને કોઈ કોઈ કિનારે સફેદ-સફેદ કશું પડેલું દેખાતું હતું. મીઠું તો ના હોય, તો બૉક્સાઇટ હશે? પછીથી પાઇલૉટને પૂછેલું. એમણે તો કહેલું, રેતી છે, પણ અમારા માનવામાં આવ્યું નહતું. એ બધે ઘણા પથ્થર હતા. તો રેતી આવે ક્યાંથી?
જોતજોતાંમાં ભૂમિનો દેખાવ બદલાઈ ગયો. ચોતરફ ટેકરીઓ દેખાઈ. ખૂબ પાસે પાસે. પછી પહાડો, અને પર્વતમાળાઓ, અને મેદાનો, અને પહોળી ખીણો, અને ઝડપી વહેણવાળાં ઝરણ. જાદુ જ ને વળી. કેટલાં રૂપ બદલતી હતી કુદરત.
બધું જ વનસ્પતિથી ભરેલું તો ખરું જ. સેસ્ના કદાચ વધારે નીચું જવા માંડ્યું હશે, કારણકે વૃક્શોના આકાર જોઈ શકાતા હતા. એમનાં થડ અને પાંદડાં નરી આંખે જુદાં પાડી શકાતાં હતાં. ક્યાંક નદીઓ જાણે સંતાયેલી હોય તેવી હતી. એકદમ સ્તબ્ધ અને ગતિહીન લાગતાં એમનાં વહેણ જંગલને જાણે ચીરતાં ના હોય.

પોટારો નદી
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીઅચાનક દેખાઈ એક જરાક મોટી નદી. એ જ હતી પોટારો. એનું થોડું વધારે વ્યક્તિત્વ હતું. એ પહોળી હતી, એનો પ્રવાહ પથ્થરો સાથે અથડાતો જતો હતો, અને ક્યાંક ધોધ થઈને પડતો પણ હતો. ગાઢ જંગલોમાં છુપાયેલો, એકલવાયો, અને પ્રચંડ એવો એ ધોધ અમને આકાશમાંથી જોવા મળ્યો.
અલપઝલપ, ‘એ દેખાય, એ જોયો’ થઈ ગયું. એ જ હતો કાઇએટ્યર મહા-જળપ્રપાત. એની ઘણી નજીક હજી તો અમે જવાનાં હતાં. પણ મનમાં થાય, કે કલાકના આ ઉડ્ડયન દરમ્યાન કેવી અજીબ નિસર્ગ-લીલા જોવા મળી હતી.
ક્રમશઃ
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
પર્યાવરણની ઘોર ખોદવાનો સરકારી ઉત્સવ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ઉત્સવ અને ઉજવણીઓ મૂળ તો માણસને પોતાના એકધારા નિત્યક્રમમાંથી રાહત મળે એ માટે શરૂ કરાયેલા. પણ હવે જે રીતે એનું વ્યાપારીકરણ, વૈશ્વિકીકરણ અને વિપુલીકરણ થયું છે એ જોતાં લાગે કે હવે ઉત્સવો અને ઉજવણીઓ એકધારો નિત્યક્રમ બની ગયા છે. એમાં પણ જ્યારથી આ ઉજવણીઓમાં સરકારની સામેલગીરી થવા લાગી એ પછી તેનો ફલક વધતો ગયો. સરકારો પ્રજાલક્ષી કામને બાજુએ મૂકીને ઉત્સવ-ઉજવણીમાં લાગી પડે અને પ્રજા પણ એવાં આયોજનમાં ઘેલી થઈને મહાલતી રહે તો સરકારને એ જ જોઈતું હોય છે! વગર વિચાર્યે, સતતપણે યોજાતા રહેતા ઉત્સવો પર્યાવરણને કેવું નુકસાન કરે છે એ તો કોણ જોવાનું? કેમ કે, એમાં છેલ્લે ઘોંઘાટ, ગંદકી અને પ્રદૂષણ જ બચે છે.
રાજસ્થાનમાં ૨૭ થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘સામ્ભર ફેસ્ટીવલ’નું સરકાર દ્વારા આયોજન કરાયું. સૌ જાણે છે કે સામ્ભર સરોવર ખારા પાણીનું અતિ મહત્ત્વનું સરોવર છે, જેને ‘રામસર સાઈટ’ ઘોષિત કરવામાં આવેલી છે. દર શિયાળે અહીં ચારથી છ લાખ યાયાવર પક્ષીઓ આવે છે. આ સ્થળની પર્યાવરણ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સરોવરના વિસ્તાર પર ડ્રોન નહીં ઊડાડવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પણ આ સરકારી ફેસ્ટીવલ દરમિયાન સરોવરના મુખ્ય વિસ્તારમાં થઈ રહેલી ઊજવણીને દર્શાવવા માટે કેટલાંય ડ્રોન ઊડતાં દેખાયાં. આટલું ઓછું હોય એમ ઊજવણી દરમિયાન પ્રચંડ ઘોંઘાટ ધરાવતી સાઉન્ડ સિસ્ટમ વગાડાતી રહી, જેનો આંક ૯૧.૮ ડેસિબલે પહોંચ્યો. સામાન્ય અક્કલની વાત છે કે અહીં આવતાં પક્ષીઓ પાસે કંઈ ઘોંઘાટને રોકવા માટેનાં હેડફોન હોતાં નથી. આ સંજોગોમાં તેમની પાસે એક જ વિકલ્પ બચે છે- અહીંથી ઊડી જવાનો. પક્ષીઓના કલબલાટથી જે સ્થળ આ મોસમ દરમિયાન ગૂંજતું રહેતું હોય ત્યાં મોટાં મોટાં સ્પીકરોનો ઘોંઘાટ, વીજળીનો ઝળહળાટ, વાહનોનાં પ્રદૂષણ અને અસંખ્ય લોકોની અવરજવર થવા લાગે તો આ પક્ષીઓને ઊડી જતાં કેટલી વાર લાગવાની!

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી અમસ્તું પણ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એન.જી.ટી.) દ્વારા નોંધાયા અનુસાર પર્યાવરણપ્રણાલિની પરિસ્થિતિની દૃષ્ટિએ સામ્ભર સરોવર દેશની સૌથી ખરાબ આર્દ્રભૂમિમાંની એક છે, કેમ કે, અહીં પાણીની નબળી ગુણવત્તા, ઠેરઠેર ઉગી નીકળેલી વનસ્પતિ, મીઠાનો ગેરકાયદે નિકાલ વગેરે અહીં પૂરાબહારમાં છે, અને એમ કહી શકાય કે પર્યાવરણની દૃષ્ટિએ એ સાવ પડી ભાંગવાને આરે છે.
આટલાં પરિબળો ઓછાં હોય એમ આ ઉત્સવનું આયોજન. ઈકો ટુરિઝમના નામે કુદરતને ખતમ કરવાનું આયોજન વરસોવરસ થતું રહે છે, જેમાં લોકો હોંશે હોંશે પોતાનું યોગદાન આપે છે.
આ ફેસ્ટિવલના આયોજન દરમિયાન તમામ પ્રકારની કાનૂની જોગવાઈઓનો સરેઆમ ભંગ થાય અને છતાં એની દરકાર ન કરાય ત્યારે ફરિયાદ કોને કરવી? કાનૂનપાલનમાં સંબંધિત સત્તાતંત્રને શો અવરોધ નડે છે?
બંધ, સરોવરો, નદીઓ હવે જાણે કે જીવનજરૂરિયાતનાં નહીં, પણ મનોરંજનનાં સાધનો બની રહ્યાં છે, જેના સર્વનાશ થકી અઢળક આવક ઊભી થાય છે. સરદાર સરોવર હોય કે સામ્ભર સરોવર કે સાબરમતી રિવરફ્રન્ટ, આવાં તમામ સ્થળો માનવસર્જિત પ્રદૂષણનો ભોગ બની રહ્યાં છે, અને વધુ ને વધુ સ્થળે આ વલણ વિસ્તરી રહ્યું છે.
બદલાતા જતા સમયની વરવી વાસ્તવિકતા એ છે કે આપણને કુદરતનું સાન્નિધ્ય ગમતું નથી. એવાં સ્થળોએ પણ આપણે આપણી ગંદકી અને પ્રદૂષણ સાથે લેતાં જઈએ છીએ. નિર્લજ્જ વ્યાપારીકરણના આપણે સૌ લાભાર્થી બનીએ છીએ અને સરવાળે જે તે સ્થળના કુદરતી સૌંદર્યની ઘોર ખોદી નાખીએ છીએ. એવરેસ્ટ જેવા દુર્ગમ, અતિ મુશ્કેલ સ્થળે જે રીતનો ધસારો થઈ રહ્યો છે એ જોતાં નદી, સરોવર કે બંધ પર લોકોનાં ટોળેટોળાં ન ઉમટે તો જ નવાઈ!
સામ્ભર સરોવર પર ‘સામ્ભર ફેસ્ટિવલ’ યોજવો એ મૂર્ખામીની નહીં, આત્મઘાતી વલણની પરાકાષ્ઠા છે. અને આ એક નહીં, જેટલા પણ આવાં સ્થળોએ સરકારી ફેસ્ટીવલનાં આયોજન થતાં રહેશે એ દરેક આયોજન આત્મઘાત તરફ દોરી જતું પગલું છે એમ માની લેવું.
આ સ્થળની આસપાસની જીવસૃષ્ટિ કાં પોતાનું સ્થાન બદલી નાખશે કે પછી ઝીંક ઝીલી ન શકવાથી ખતમ થઈ જશે. આવા આયોજન અગાઉ કાગળ પર કશા અભ્યાસ થયા પણ હોય તો એ કશા કામના નથી. કેમ કે, એ કેવળ એક ઔપચારિક પ્રક્રિયા છે. જે નુકસાન થવાનું હોય એ થઈને જ રહે છે. આપણે જાતભાતના કાયદા બનાવ્યા છે, પણ એ કાગળ પર રહી જાય તો એ બનાવ્યાનો શો મતલબ!
આપણી પાસે નાણાં ખર્ચવાની ક્ષમતા આવી જાય એને લઈને કંઈ કુદરતને નુકસાન પહોંચાડવાનો આપણને અધિકાર મળી જતો નથી. પણ આપણને એમ લાગે છે અને ખર્ચેલાં નાણાં વસૂલ કરવાના ઉત્સાહમાં પર્યાવરણને શક્ય એટલું નુકસાન પહોંચાડીએ છીએ.
આવી ભૂલોનાં પરિણામ વરસોવરસ મળી રહ્યાં છે, પણ હજી આપણે સુધરવાનું નામ લેતા નથી. પર્યાવરણના નામે જાતભાતની સંધિઓ પર સહી થાય છે, અબજો રૂપિયા વેડફાય છે, પણ છેવટે એનાથી પર્યાવરણને કશો લાભ થતો નથી. ખરેખર તો પર્યાવરણને લગતા વિવિધ મુદ્દાઓ રાજકીય પક્ષના કે ચૂંટણીઢંઢેરાના મુદ્દાઓમાં સમાવિષ્ટ થવા જોઈએ. પણ આપણે વિકાસની વાતોથી અને વિભાજનના મુદ્દાઓથી સંતુષ્ટ થઈ જઈએ છીએ, અને એમાં જ રચ્યાપચ્યા રહેવાનો આનંદ માણતા રહીએ છીએ. એ જ આપણો ઉત્સવ છે અને એ જ આપણી ઉજવણી.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯ – ૧– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
