-
દરેક સંજોગોમાં, અસરકારક અગ્રણી સકારાત્મક અભિગમ જાળવી રાખે છે
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
નેતા કેવી રીતે વાતચીત કરે છે, તે પોતાના વ્યક્તિત્વને કેવી રીતે રજૂ કરે છે એવાં સંવાદનાં વિવિધ પાસાંઓ અસરકારક નેતૃત્વનાં મૂળમાં છે.
થોડા વર્ષો પહેલા, હું પ્રોજેક્ટના અગ્રણીઓ સાથે ચર્ચાનું આયોજન કરી રહ્યો હતો. ચર્ચાનું ધ્યેય પ્રક્રિયાઓમાં સુધારા માટેની તકો ઓળખવાનું હતું. શરૂઆતની થોડી મિનિટોમાં મને સમજાવા લાગ્યું કે વાતચીત યોગ્ય દિશામાં ચાલી રહી નથી. પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહેલા મોટાભાગના સહભાગીઓએ ફક્ત તેમની લડાઈઓની અને સંઘર્ષની અને અત્યાર સુધીની સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા હતા. તેઓ સમસ્યાના લક્ષણો અને અસરો પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ સમસ્યાના (સંભવિત) મૂળ કારણ પર તેઓનું ધ્યાન કેન્દ્રિત નહોતું થઈ રહ્યું.
સમસ્યાઓને બદલે ઉકેલો પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે મારે થોડો પ્રયાસ કરવો પડ્યો. પરંતુ એ પ્રયાસોને કારણે હું બેએક બાબતો શીખી શક્યો:
- અસરકારક નેતાઓ સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખે છે. સામનો કરવાની જરૂર છે એવી સમસ્યાઓ છે તેમાં બેમત ન હોઈ શકે. સમસ્યા વિશે નકારાત્મક ચર્ચા ફક્ત સમસ્યા સ્પષ્ટ ન થાય ત્યાં સુધી મર્યાદિત હોવી જોઈએ. એકવાર સમસ્યા (એટલે કે મૂળ કારણ) જાણી લેવામાં આવે, પછી સમસ્યા વિશે વારંવાર ગાવાનો કોઈ અર્થ નથી. ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અગ્રણીઓને સકારાત્મક દૃષ્ટિકોણ જાળવવામાં મદદ મળે છે.
- અસરકારક અગ્રણીઓ અંતિમ પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અગ્રણીના મનમાં ઉદ્દેશ્ય હંમેશાં કેન્દ્રમાં રહેવો જોઈએ. પ્રોજેક્ટ દરમિયાન કરવામાં આવેલી બધી ‘પ્રવૃત્તિઓ’ અને ‘સમસ્યાઓનું નિરાકરણ’ એ નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરવાના સાધન છે. પરંતુ ક્યારેક, અગ્રણીઓ સાધનોમાં એટલા ડૂબી જાય છે કે સાધ્ય (પરિણામ) દૃષ્ટિ સામેથી ખોવાઈ જાય છે. જે લોકો ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા કૃતનિશ્ચય તે ઉદ્દેશ્યોને સતત પોતાની સામે રાખે છે.
- અસરકારક અગ્રણીઓ તેમની વાતચીત – સંવાદ પ્રત્યે સભાન હોય છે. તેઓ દરેક શબ્દની અસર જાણે છે. તેઓ તેમની વાતચીત જે (ગર્ભિત તેમજ સ્પષ્ટ) સંદેશાઓ પહોંચાડે છે તેના વિશે તેઓ સભાન હોય છે.
મેં તાજેતરમાં ટ્વિટર પર આ મુજબ વાંચ્યું – સંવાદ એ નેતૃત્વનું ચલણ છે.
દરેક અગ્રણીએ સંવાદની બાબતે પોતાને પૂછવા જોઈએ તેવા કેટલાક પ્રશ્નો અહીં આપ્યા છે:
- આ સંવાદ મને મારી ટીમના લોકો પાસેથી ઇચ્છિત પ્રદર્શન/પરિણામો મેળવવામાં કેવી રીતે મદદ કરી રહેલ છે?
- આ સંવાદ કાર્યસિદ્ધિ કરવા માટે જરૂરી જ્ઞાનને કેટલી અસરકારક રીતે હસ્તાંતરિત કરે છે?
- આ સંવાદ લોકોના ટીમના, અને તેમનાં પોતાનં, ધ્યેય પ્રત્યેના માનસિક અને ભાવનાત્મક જોડાણને કેવી રીતે મજબૂત બનાવી રહેલ છે?
- આ સંવાદ મને સંબંધો બનાવવામાં, અને જાળવી રાખવામાં, કેવી રીતે મદદરૂપ બની રહેલ છે?
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
સાર્વભૌમ વ્યૂહરચનાનો ગંજ – મંચ સજ્જાનું સ્થાપત્ય
ધંધેકા ફંડા
ગતાંકમાં આપણે હવે પછી શું ?ની આપણી યાત્રામાં Think for yourself! – સાર્વભૌમ કાર્યસૂચિ – દબાણ હેઠળનાં અમલીકરણથી સ્વેચ્છાપૂર્વકનો અમલ પર આવીને અટક્યાં હતાં. હવે એ માર્ગે વિચાર કરવાનું શરૂ કરવાના ત્રીજા પડાવ વિશે વિચાર કરીએ ….
ઉત્પલ વૈશ્નવ
મોટાભાગના લોકોનું ધ્યાન સાધનો પર કેન્દ્રિત રહેતું હોય છે. તેઓ નવાં નવાં સોફ્ટવેર, ઉત્પાદકતા માટેનાં નવીનતમ હેક કે પછી ખોટાં નીવડેલાં કામોના કચરાને સાફ માટેની ઝડપી રીત જેવાં સાધનોની શોધમાં રહેતાં હોય છે. આ બધાં સપાટીના સ્તરનાં કાર્ય છે, જે ખરેખર શક્તિ ઉત્પન્ન કરતા માળખાકીય સ્તરોને નજરઅંદાજ કરતાં રહે છે,
સાર્વભૌમ વ્યૂહરચનાનો ગંજ (The Sovereign Strategy Stack) એ ખેલને ધારી દિશામાં દોરવણી કરવાની વ્યુહરચનાના બોર્ડનું વિવિધ સ્તરનું સ્થાપત્ય છે. તેનો આધાર એક જ , લાગણીહીન, કાયદા પર આધારિત છે: અંદર ® બહાર. તમારા સાધનો (બહાર)ને અપગ્રેડ કરતા પહેલા તમારે તમારી વિચારસરણી (અંદર)ને અપગ્રેડ કરવી આવશ્યક છે.

સ્ટેકનું સ્થાપત્ય:
સ્ટેક એક કેન્દ્રિય પ્રણાલી છે જ્યાં દરેક સ્તર તેની નીચેના સ્તરની અસરકારકતાનો ગુણાકાર કરે છે. જો તમે કોઈ સ્તર છોડી દો, તો તમે હેતુ સિદ્ધ કરવાની લાભદાયક સ્થિતિ પરની પકડ ગુમાવો છો.
સ્તર I: વ્યૂહાત્મક વિચારસરણી (પાયો)
આ સૌથી આંતરિક – હાર્દ સમાન – સ્તર છે. તે ફક્ત ઘટનાઓ જ નહીં, પણ ઘટનાઓ થવાનાં વલણને શોધવાની ક્ષમતા બક્ષે છે.
- નાભિ કેન્દ્ર: બીજા ક્રમની અસરોને સમજવી અને એ અસરો થવા લાગે તે પહેલાં ન ધારેલી બાબતોનું આયોજન કરી રાખવું.
- સ્થપતિની ચાલ: બજારમાં થઈ રહેલાં પરિવર્તનોના ઝુકાવ પર પ્રતિક્રિયા આપવાની જગ્યાએ અંતર્ગત રહેલી તંત્રવ્યવસ્થાનું ફેરઘડતર કરવાની પૂર્વતૈયારી તરફ તૈયાર રહેવું.
સ્તર II: અમલીકરણ પ્રયુક્તિઓ (કૃત્ય)
પ્રયુક્તિઓ વ્યૂહાત્મક આંતરસૂઝને નક્કર ચળવળમાં રૂપાંતરિત કરે છે.
- નાભિ કેન્દ્ર : સરળ, નજર સામે રહે એવાં કાર્યસિદ્ધિ કોષ્ટકો વડે પ્રગતિ પર નજર રાખતા રહેવું અને મહત્તમ અસર માટે સંસાધનોને ઈષ્ટતમ કરતાં રહેવું.
- સ્થપતિની ચાલ : “વ્યસ્તતા” ને અમલીકરણ સાથે ગુંચવાવા ન દેવું. જો પ્રયુક્તિ વ્યૂહાત્મક પ્રવાહને અનુરૂપ ન હોય, તો તે વ્યય છે.
સ્તર III: નિર્ણય માળખાં (ગળણું)
નિર્ણય પ્રક્રિયાનું માળખું જ્ઞાનનો ભાર બન્યા વિના માહિતી સામગ્રી એકઠી કરવા, નિર્ણય લેવા અને યોગ્ય રીતે સુસંગત ગોઠવણી કરવાનું શક્ય બનાવે છે.
- નાભિ કેન્દ્ર : માહિતી સામગ્રી, લોકો અને સમય વચ્ચેનાં ટપકાંઓને એવી રીતે જોડવાં જેથી આંતરસૂઝ અનેકગણી વધે.
- સ્થપતિની ચાલ: બાહ્ય વિચારની શક્તિ કેળવવી. આંતરસૂઝને સુગઠીત રાખવી જેથી વર્તમાનનો દરેક નિર્ણય ભવિષ્યના નિર્ણયને સરળ બનાવે.
સ્તર IV: ધ્યેયો, અમલ અને અનુકૂલન (પુનરાવર્તન)
આ સ્તર ખરેખર થયેલ પ્રગતિનું નિરીક્ષણ કરે છે અને જે અસરકારક નીવડેલ છે તેને નિશ્ચિત ધોરણ તરીકે પ્રમાણિત કરે છે.
- નાભિ કેન્દ્ર : બહુ જ સ્પષ્ટ ઉદ્દેશ્યો પ્રસ્થાપિત કરવા અને પરીક્ષણ, માપન અને અનુકૂલનનાં સમીક્ષા ચક્ર ત્વરિત સમયગાળામાં રહે એ મુજબ ગોઠવવાં.
- સ્થપતિની ચાલ : સફળ નીવડેલ ચાલને નિશ્ચિત ધોરણ તરીકે પ્રમાણિત કરવી; નિષ્ફળતાઓને લાગણીશીલ થયા વિના ઠીક કરવી, કે પછી દૂર કરવી.
સ્તર V: નેતૃત્વ માટેની માનસિકતા (સત્તા)
આ સૌથી બાહ્ય સ્તર છે જ્યાં વ્યૂહરચના જાહેર બને છે. આ તબક્કે વિચારસરણીઓનો મનમેળ અને આપસી ભરોસો મહત્વનાં છે.
- નાભિ કેન્દ્ર : પૂર્વધારણાઓને ચકાસતા પ્રશ્નો કરવા અને સ્પષ્ટ, વિગતવાર વૃતાન્તનાં સ્વરૂપે જણાવાયેલ દૃષ્ટિકોણની સાથે ટીમોને સાંકળવી.
- સ્થપતિની ચાલ: ઠંડા દિમાગ વડે ઘડેલ વિશ્વનીય વ્યૂહરચના ટીમને જણાવવી. જટિલ આંટીઘુંટીઓને બદલે સરળ અભિગમ અપનાવવો જેથી ટીમો એક સંગઠિત એકમ તરીકે આગળ વધે.
ગુણક નિયમ
તમારા નેતૃત્વની અસરકારકતા સીધી લીટીની સંખ્યા નથી; તે આ બધાં સ્તરોનો ગુણાકાર છે.
અંદર® બહાર: જો તમારી વ્યૂહાત્મક વિચારસરણી ખોખલી છે, તો તમારાં નેતૃત્વની માનસિકતા નર્યો ઘોંઘાટ છે. જો તમારા નિર્ણય માળખા તૂટી પડ્યાં છે, તો તમારું અમલીકરણ ફક્ત તીવ્ર વેગ ધરાવતું, પરંતુ, લક્ષ્યહીન તીર છે.
વ્યૂહરચનાનું ઓડિટ :: સ્ટેકની ખામીઓ દૂર કરવી
જ્યારે કોઈ પ્રોજેક્ટ અટકી જાય અથવા કોઈ સાહસ નિષ્ફળ જાય છે, ત્યારે આર્કિટેક્ટ નવા સાધનો શોધતો નથી; તે સૌ પહેલાં તો સ્ટેકની ખામીઓ દૂર કરે છે.
લક્ષણ સંભવિત માળખાકીય નિષ્ફળતા ઊંઘતાં ઝડપાવું સ્તર Iની નિષ્ફળતા દ્વારા પકડાયેલ: ઘટનાઓનાં વલણને બદલે એક એક ઘટના પર ધ્યાન કેન્દ્રિત કરો. ઉચ્ચ કક્ષાના પ્રયાસ, ખાલીખમ કાર્યસિદ્ધિ કોષ્ટક સ્તર IIની નિષ્ફળતા: કાર્યસિદ્ધિ કોષ્ટક સાથે અસંગત થયેલ પ્રયુક્તિઓ. પુનરાવર્તિત ભૂલો સ્તર IIIની નિષ્ફળતા: ગુણક કક્ષાના નિર્ણય માળખાનો અભાવ. જડ/બરડ વ્યૂહરચના સ્તર IVની નિષ્ફળતા: વાસ્તવિક-જાહેર માહિતી સામગ્રી સાથે અનુકૂલન કરવામાં અસમર્થતા. ટીમનું વિખરાયેલાં રહેવું સ્તર Vની નિષ્ફળતા: સ્પષ્ટ, વિગતવાર વૃતાન્ત અને દીર્ઘદૃષ્ટિ વચ્ચે એકરાગનો અભાવ. આ સ્ટેકનો ઉપયોગ કેવી રીતે કરવો
૧. સૌથી નબળા સ્તરને ઓળખો: જ્યાંથી તમને બહુ સહેલું લાગે ત્યાંથી શરૂઆત કરશો નહીં. સ્ટેકનું ઑડિટ કરો અને એ સ્તર શોધો જે હાલમાં સૌથી વધુ લાભદાયક પરિસ્થિતિને નુકસાન પહોંચાડી રહેલ છે.
૨. એક ઊચ્ચ સ્તરની ડિઝાઇન કરો: તે સ્તર માટે એક ચોક્કસ ઉચ્ચ કક્ષા પસંદ કરો (દા.ત., નવું નિર્ણય ફ્રેમવર્ક અથવા વધુ આક્રમક ધ્યેય નક્કી કરવાનાં પુનરાવર્તન ચક્ર).
૩. ચાલ ચાલ્યા પછીની સ્થિતિની સમીક્ષા કરો: દરેક મુખ્ય નિર્ણય અથવા વ્યુહરચનાની ચાલ પછી, સ્ટેકની સમીક્ષા કરો કે કયું સ્તર નિષ્ફળ ગયું કે સફળ થયું.ધ્યેય વધુ સાધનો રાખવાનું નથી. ધ્યેય બોર્ડને અંદરથી બહારથી દોરી જવાનું છે.
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
આર્થિક નાદારી સાંભળી છે, પણ જળ-નાદારી હવે સર્વવ્યાપી છે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
‘નાદારી’ (બેન્કરપ્સી) શબ્દથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. મુખ્યત્વે આર્થિક બાબત માટે વપરાતા આ શબ્દનો સાદો અર્થ થાય, ‘દેવું ચૂકવવા માટે અસમર્થ હોય એવી સ્થિતિ અને તેની વિધિસર જાહેરાત.’ તેની કાનૂની વ્યાખ્યા અને અર્થઘટનમાં જવાની જરૂર નથી, કેમ કે, અહીં આ શબ્દનો સંદર્ભ અન્ય બાબતે છે.
‘યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટી ફોર વોટર, એન્વાયર્ન્મેન્ટ એન્ડ હેલ્થ’ના ડાયરેક્ટર કાવેહ મદાનીએ એક અહેવાલ તૈયાર કર્યો છે, જે ચર્ચામાં છે. આ અહેવાલનું શિર્ષક છે ‘ગ્લોબલ વૉટર બેન્કરપ્સી સિપોર્ટ’. આ અહેવાલ જળસંકટને જરા જુદી રીતે સમજાવે છે. મદાનીએ ‘વૉટર બેન્કરપ્સી’ જેવો શબ્દ પ્રયોજ્યો છે, જેને ગુજરાતીમાં ‘જળ-નાદારી’ કહી શકાય. આ શબ્દ કાને પડતાં એમ લાગે કે પાણીના ઊપલબ્ધ જથ્થા અને તેની માંગ અથવા ઊપયોગ વચ્ચે જે અસંતુલન છે તેની વાત હશે.
આથી પહેલાં તો એ સમજી લેવાની જરૂર છે કે જળસંકટ અને જળનાદારી બન્ને સાવ અલગ બાબતો છે. જળસંકટ એક એવી સ્થિતિ છે જે પ્રાકૃતિક અછત, અત્યધિક ઊપયોગ, કે માળખાકીય સુવિધાના અભાવને કારણે પેદા થઈ શકે. આવી સ્થિતિ અસામાન્ય ગણાય, પણ તેમાં એટલું આશ્વાસન હોય છે કે એ સ્થિતિમાં ઘટાડાની યા સુધારાની શક્યતા હોય છે. આ અહેવાલમાં નિષ્ફળતાની એવી સ્થિતિ જણાવવામાં આવી છે કે જે જળસંકટ પછી પેદા થાય છે. એ પેદા થવાનું કારણ એ કે ક્યાંય સુધી આપણે જેટલું ઉપલબ્ધ હતું તેની સરખામણીએ ક્યાંય વધુ પાણીનો વપરાશ કરતા રહ્યા અને આપણી પર્યાવરણપ્રણાલિને નુકસાન પહોંચાડ્યું.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી અહેવાલ અનુસાર આપણું ‘કરન્ટ અકાઉન્ટ’(ચાલુ ખાતું) એટલે કે નદીઓ, સરોવરો તેમજ અન્ય જળાશયો ખાલી થઈ ચૂક્યાં છે. જળવાયુ પરિવર્તન પાણીની આવકને ઘટાડી રહ્યું છે, કેમ કે, વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. આને લઈને આપણું ‘પ્રોપર્ટી અકાઉન્ટ’ (સંપત્તિ ખાતું) એટલે કે ભૂગર્ભ જળ સૂકાઈ ગયું છે. બીજી તરફ ખેતી માટે, જીવનજરૂરિયાત માટે, ડેટા સેન્ટરો તેમજ પાવર પ્લાન્ટ માટે પાણીની માંગ ઉભી જ છે. શરૂઆતમાં આપણે કરજ લઈને ચલાવીએ છીએ એટલે કે પ્રકૃતિનું દોહન કરીએ છીએ. પણ એ લાંબો સમય ચાલી શકતું નથી, અને આખી પ્રણાલિ ધીમે ધીમે ખતમ થવા લાગે છે. નદીઓ સંકોચાઈ જાય છે, પ્રદૂષિત થતી રહે છે, જળાશયો અને આર્દ્ર ભૂમિ સૂકાઈ જાય છે. ભૂસ્ખલન, રણીકરણ, ધૂળ અને રેતીની આંધી, દાવાનળ, જૈવવિવિધતાને નુકસાન તેમજ હીમનદીઓ પીગળવાને કારણે સર્જાતી પૂરની સ્થિતિ! આ નવી વાસ્તવિકતાઓ પેદા થતાં હવે જૂની શબ્દાવલિ પણ પુનર્વિચાર માગી લે છે. અહેવાલમાં ઊલ્લેખાયા અનુસાર, ‘જળનાદારી’ સમજીએ તો આપણે નુકસાન ઘટાડી શકીએ છીએ, ભાવિ નુકસાનને અટકાવી શકીએ છીએ અને નવી વાસ્તવિકતાઓ અને મર્યાદાનો સ્વીકાર કરી શકીએ છીએ, જેના આધારે આપણે આપણી કાર્યપદ્ધતિને પણ નવેસરથી ગોઠવવી પડશે.
એવો સવાલ જરૂર થાય કે શું જળનાદારી માટે વૈશ્વિક તાપમાન અને જળ વ્યવસ્થાપન બન્ને જવાબદાર છે? આ જાણવા માટે કેટલીક મૂળભૂત બાબતો સમજી લેવા જેવી છે. જળપ્રણાલિ એકદમ સંકુલ હોય છે. તેમાં કારણ અને પરિણામનો સંબંધ સીધેસીધો અને સપ્રમાણ નથી હોતો. આથી એ નક્કી કરવું મુશ્કેલ છે કે કયા કારણની અસર કેટલી છે. જળવાયુ પરિવર્તનને કારણે ઘણા વિસ્તારોમાં પાણીની ઊપલબ્ધતા ઘટી છે. વરસાદની તરાહ, માત્રા અને આવર્તન પણ બદલાયાં છે. હીમનદીઓ પીગળી છે અને જળચક્ર પણ અસરગ્રસ્ત થયું છે. મોટા ભાગના બંધ જળાશયો અને આંતરરાષ્ટ્રીય જળસંધિના જૂના, ઐતિહાસિક આંકડાના આધારે બનાવાયા હોવાથી હવે જળવાયુ પરિવર્તન, જમીનના હેતુફેર તેમજ અન્ય કારણોસર પ્રસ્તુત નથી રહ્યા. અહેવાલમાં આમ જણાવાયું હોવાની સાથોસાથ એમ પણ કહેવાયું છે કે જળવાયુ પરિવર્તને એ બાબતો નક્કી નથી કરી કે ભારત, સાઉદી અરેબિયા કે અમેરિકામાં ખેતી કેટલી થશે કે આપણાં શહેરો ક્યાં બનશે. એ તો આપણે પોતે જ ઊભી કરેલી વ્યવસ્થા છે. નદીઓ અને આર્દ્રભૂમિનું સંકોચાવું એક પ્રકારે ‘પ્રતિસાદ અસર’ પેદા કરે છે. પ્રતિસાદ અસર એટલે કોઈ પણ કાર્યના પરિણામ કે પ્રતિભાવ દ્વારા મૂળ કાર્ય પર પડતી અસર. આમ, આવા એકમેક સાથે જોડાયેલા કારકોને આપણે ભૂલી જઈએ છીએ અને દોષનો ટોપલો જળવાયુ પરિવર્તન જેવા કોઈ એક જ પરિબળને માથે ઠાલવી દઈએ છીએ.
એટલે જળનાદારીનાં બે મુખ્ય કારણ છે. પહેલું તો પાણીની સુલભતાની સરખામણીએ તેની માંગ વધુ હોવી. અને બીજું આ અસંતુલન લાંબા અરસા સુધી રહેવાને કારણે થયેલું કાયમી નુકસાન, જેને ભરપાઈ કરવું શક્ય નથી.
સમસ્યા અતિ ગંભીર છે, અને તેના ઊકેલ માટે ભૂગોળ તેમજ સામાજિક-આર્થિક પરિસ્થિતિનું વૈવિધ્ય સમજવું જરૂરી છે. પાણીની અછતને કારણે પેદા થતી તાણ અને તેની ગંભીરતાની પરિભાષા પ્રત્યેક સ્થળ અનુસાર અલગ અલગ હોઈ શકે છે. ભૂસ્ખલન થયું હોય એવા વિસ્તારોમાં પરિસ્થિતિ પૂર્વવત થઈ શકે એ શક્યતા દેખીતી રીતે મુશ્કેલ જણાય.
આખા અહેવાલનો સાર એટલો કે આપણે જળનાદારીથી ઊભી થયેલી ગંભીર સમસ્યાઓ બાબતે હજી વિચાર સુધ્ધાં કર્યો નથી. આ પરિસ્થિતિને લક્ષમાં લઈએ તો જળ વ્યવસ્થાપનનું સમૂળગું આયોજન નવા દૃષ્ટિકોણથી કરવાનું આવે. હજી ઘણા માને છે કે પાણી પૈસાથી ખરીદી શકાય એમ છે અને પોતાની પાસે પૂરતાં નાણાં હશે તો વાંધો નહીં આવે. શું વિશ્વમાં કે શું આપણા દેશમાં, આ બાબતે કશું આયોજન થઈ રહ્યું છે કે કેમ એ ચિંતાનો વિષય છે. કેમ કે, એની પર વિચાર થાય, આયોજન ઘડાય અને એનો અમલ શરૂ થાય ત્યાં સુધીમાં જળ-નાદારી કઈ હદે પહોંચી ગઈ હશે એ વિચારે ધ્રુજારી છૂટે છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૮-૫– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
પનામા – નગર અને નિસર્ગનો દેશ – ૩
પ્રીતિ શાહ-સેનગુપ્તા
બસ, સ્મરણમાં હતી તે જગ્યા ફરી એક વાર જોઈ લીધી. નાની ગલીઓમાં, આગલા વખતે હતી તે બેએક દુકાનો શોધવા આમતેમ ફરી, પણ તે હવે રહી ના લાગી. છતાં, સ્થાનિક જીવન જોઈને મન સંતોષાયું.
થોડે આગળ જતાં, સાન્તા આના નામના જાહેર પ્લાઝામાં એક નાનો પાર્ક હતો. આખો દિવસ લોકો એમાં ફરતા, અને બેસી રહેતા હોય છે. બાજુમાં હતું વડ જેવું લાગતું, ખૂબ મોટું એક ઝાડ. વડવાઈઓ જેવી ડાળીઓ લટકતી પણ હતી. એ ડાળીઓનો ફોટો લેવા ગઈ, તો નીચે બનાવેલા ચોતરા પર બેઠેલા ચારેય સ્થાનિક પુરુષોએ, હૅટ પહેરેલાં એમનાં માથાં નમાવીને મોઢાં છુપાવી દીધાં. એ ફોટો વધારે લાક્ષણિક બન્યો છે!

અહીં બધાં મકાનો જુદા જુદા, આછા રંગે રંગેલાં છે. સરસ ગુલાબી, પીળો, વાદળી, ને લીલો જરા ઘેરો હોય. પણ બધાં લાગે બહુ સરસ. અહીંથી થાય છે “કાસ્કો ઍન્તિગ્વો”, એટલેકે ‘જૂના શહેર’ની શરૂઆત.
અહીંથી શરૂ કરીને છેક છેડા સુધી, ઘણી ગલીઓમાંનાં ઘણાં મકાનો ખાસ્સાં ફૅન્સી લાગે છે. એ બધાં પર સમારકામ, રંગરોગાન, સાફસૂફી કરવામાં આવેલાં છે. ત્યાંની બાલ્કનીઓ કુંડાંમાં ઉગાડેલાં ફૂલછોડ, અને કારીગીરીવાળી, લોખંડની જાળીઓથી શોભે છે.
પનામા શહેરની શરૂઆત જ્યાંથી થયેલી, તે જગ્યાનો સત્તરમી સદીમાં નાશ થયેલો. ત્યાં હજી થોડાં ખંડેર રહેલાં છે. પણ પછીથી, અઢારમી સદીમાં, આ સાવ છેડાના ભાગમાં શહેરની પુનર્સ્થાપના કરવામાં આવી. ૨૦૦૩થી, અહીંનાં બધાં બાંધકામો, તથા આ આખો વિભાગ નૅશનલ હૅરિટેજ સાઇટ ગણાય છે.
કેટલાંયે પ્લાઝા, સ્મારક, ચર્ચ, થિયેટર, રૅસ્ટૉરૉં અને સ્માર્ટ દુકાનો અહીં ઠેર ઠેર દેખાયા કરે છે. સમગ્ર દેખાવ નવો અને ચોખ્ખો છે. વળી, બધે જ પોલિસની હાજરી રહેલી છે. આમેય, અહીં જ આવેલો છે, અને પનામા અખાતનાં પાણીને કિનારે રહેલો છે, દેશના મુખ્ય પ્રમુખનો પ્રાસાદ.
નાની ભૂશિર જેવા આ ભૂ-ભાગની દરેક ગલીમાંથી, બધી બાજુથી, અખાતનું, અથવા પૅસિફિક મહાસાગરનું પાણી દેખાયા કરે છે. ભૂરું પાણી, ભૂરું આકાશ, સૂરજનું સોનેરી તેજ, અને ભૂમિના વળાંકની સામી બાજુ પર રહેલી, પનામા નગરની નવી, આધુનિક, ખૂબ ઊંચી ગગનચુંબી ઇમારતો. આખું દૃશ્ય ઝગમગ થતું લાગે. દૃષ્ટિને તેમજ મનને બહુ આનંદ મળે છે આ ‘જૂના શહેર’ના પરિસરમાં ફરતાં.
કેટલાં પાસાં છે આ દેશનાં. અહીં જર્જરિત જૂનું ને ઐતિહાસિક જૂનું છે, તથા સાધારણ નવું ને આધુનિક નવું છે. સામાન્ય જીવન જીવતાં, કે ગરીબ પ્રજાજનો બહાર બધે દેખાય; ધનિક લોકો દિવસે નજરે પણ ના ચઢે. એ લોકો તો બહાર નીકળે સાંજને સમે, રૅસ્ટારાઁ, થિયેટર, પાર્ટી વગેરેને માટે જ. જોકે, આ પરિસરમાં આખો દિવસ પ્રવાસીઓ ફરતાં જરૂર દેખાય છે.
હું પણ ફરતી રહી આ ઐતિહાસિક વિભાગમાં. ઘણાં જૂનાં અને વિશાળ મકાનોમાં આર્ટ ગૅલૅરી કે કલ્ચરલ સેન્ટર થયેલાં હોય છે. જૂના સ્થાપત્યમાં પ્રદર્શિત હોય છે સમકાલીન કળા. આવા એક મકાનના એક ખંડમાં, આખી ફર્શ પર પ્લૅક્સીગ્લાસ જડી દીધેલો, કે જેથી નીચે રહેલા જૂના પથ્થર દેખાય, તેમજ સચવાય પણ ખરા.
સાન હોઝે ચર્ચમાંની વેદી સોનાની બનેલી છે. કહે છે, કે સત્તરમી સદીમાં જ્યારે પનામા બાળવામાં અને લૂંટવામાં આવી રહ્યું હતું, ત્યારે એક પાદરીએ આ ખૂબ મોટી વેદીને આખી કાળી રંગી નાખી હતી, ને તેથી જ એ બચી ગઈ. ઇન્ડિપૅન્ડન્સ પ્લાઝામાં મોટું દેવળ આવેલું છે, જેને બાંધતાં એકસો વર્ષ થયેલાં. એની નજીકમાં મ્યુનિસિપાલિટીનું મહેલ જેવું મોટું મકાન છે.
નૅશનલ થિયેટરનું ગ્રેસફુલ મકાન ૧૯૦૮માં બનેલું. એનો પુનરોદ્ધાર ૧૯૭૪માં થયો, ને ત્યારે પનામાના જાણીતા આર્ટીસ્ટ રૉબૅર્તો લુઇસ દ્વારા એની છત પર સુંદર ચિત્રો કરાવવામાં આવ્યાં. તો સામે તરફ બોલિવાર પ્રાસાદ છે. સિમોન બોલિવારે પનામાને સ્પેઇનના અમલથી સ્વતંત્રતા અપાવેલી. આ પ્લાઝામાં એમનું શિલ્પ પણ મૂકેલું છે.
એક સાવ નવી જગ્યા બની છે આ ભૂશિરના દક્ષિણ છેડે આવેલા, “પ્લાઝા દ ફ્રાન્સિયા”, અથવા ફ્રેન્ચ પ્લાઝા-ની આસપાસ. અહીં પ્રાચીન ઊંચી, પહોળી દીવાલ બનેલી છે. વીસમી સદીની શરૂઆત સુધી, શહેરની સુરક્ષા માટે, સૈન્યની એક ટુકડી ત્યાં વસતી. હવે આ દીવાલ પર બોગનવેલનાં રંગીન ફૂલો ઝૂકેલાં રહે છે, અને હવે સાંધ્યવિહાર માટેનું આ લોકપ્રિય સ્થાન છે.
પણ એથીયે વધારે, અહીં ગોઠવાયું છે એક તળ-બજાર. ‘ગુના’ નામની એક તળ-ઇન્ડિયન જાતિની સ્ત્રીઓની હસ્તકળા અહીં વેચાય છે. ખાસ કરીને, રંગીન કાપડના ત્રણ-ચાર સ્તર મૂકીને, એમને કાપી અને હાથે સીવીને જુદી જુદી ડિઝાઇન બનાવીને કરવામાં આવતા પૅચવર્કની, “મોલા” કહેવાતી હસ્તકળા. પોતાના પહેરવેશ માટે વપરાતી આ કળા પછી વેચાવા માંડી હતી. પનામાના મારા પહેલા પ્રવાસ દરમ્યાન મેં ઘણા બધા નાના-મોટા નમૂના ખરીદ્યા હતા.
આ વખતે મોલા-કામ અત્યાર સુધી દેખાયું નહતું. આ બજારમાં અસંખ્ય ચોરસ-લંબચોરસ, નાની ને ઘણી મોટી સાઇઝના ટુકડા દીવાલ પર લટકાવેલા દેખાયા. શું રંગ, ને શું કામ. અત્યંત આકર્ષક. જોકે હવે પહેલાં જેવી ટૅકનિક, અને ઝીણી ડિઝાઇનની કારીગીરી નથી રહી. એટલો બધો સમય હવે કોઈ આપતું નથી લાગતું. ને ભાવ ખૂબ જ વધી ગયા છે. આ કળા હવે જાણીતી અને લોકપ્રિય થઈ ગઈ છે ને.
આ ‘ગુના’ જાતિની સ્ત્રીઓના મોઢાંના આકાર સરખેસરખા લાગે. બધી સરખી નીચી, અને કપડાં પણ, પ્રથા પ્રમાણેનાં અને સરખાં લાગે તેવાં જ પહેરે. પીંડી સુધી આવતું સ્કર્ટ જેવું વસ્ત્ર, રંગીન પ્રીન્ટ પર પૅચવર્ક કરેલું બ્લાઉઝ, અને માથે લાલ-પીળી ભાતનો રૂમાલ બાંધેલો હોય. ગળામાં, કાંડા પર અને પગ પર મોટે ભાગે કીડિયાંનાં બનાવેલાં ઘરેણાં પહેર્યાં હોય. ફોટો પાડવા ના દે. મેં કૅમૅરા જરાક સંતાડીને લેવા પ્રયત્ન કર્યા ખરા.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
સ્મૃતિસંપદા : સહકારની કેડીએ : મનસુખ વાઘેલા [૧]
પરિવારપ્રેમી શ્રી મનસુખ વાઘેલાનો જન્મ ૧૯૪૬માં જામવંથલી નામના ગામડામાં થયો હતો. બાળપણમાં ગરીબી અને માબાપના વિયોગના કષ્ટ સાથે તેઓ અભ્યાસમાં પ્રગતિ કરતા રહ્યા. કાકા-કાકી અને દાદાની છત્રછાયા નીચે મુંબઈમાં ભણીને સંબંધીઓ અને મિત્રોના સહકારથી તેઓ ૧૯૬૯માં અમેરીકા આવ્યા.વિખૂટી પડી ગયેલી માતાને તેઓ અમેરીકા આવતા પહેલાં મળી શક્યા અને પછીથી અમેરીકામાં વર્ષો એમની સાથે રહ્યા.
એન્જિનિયર તરીકેની કારકિર્દી ઉપરાંત રીઅલ એસ્ટેટના બ્રોકર તરીકે પણ તેઓ સફળ રહ્યા છે.
સરળતા અને સાદગીને કારણે તેઓ સમૃધ્ધ છે. ધર્મ, સમાજ અને સાહિત્ય પ્રત્યેના પ્રેમને કારણે સંસ્થાઓ સાથે સંકળાઈને નિવૃતિનો સમય હ્યુસ્ટનમાં પ્રસન્નતાથી પસાર કરે છે. ભારત અને અમેરિકાના ઘણા રાજ્યોમાં તેઓએ પ્રવાસ કર્યો છે.
Email: mvagh@yahoo.com
નવેંબર ૨૨, ૨૦૨૧ના હું ‘પનામા’ની ‘ક્રુઝ્’માં ‘પ્રિન્સેસ એમિરાલ્ડ’ના જહાજમાં હતો. ઉછળતા મોજાં વચ્ચે એક પ્રશ્ન મનને સતાવી રહ્યો હતો. મારા એક મિત્ર શૈલેશ પટેલે સાહજિક્તા પૂછ્યુ કે ‘મનસુખ, તારા મુખ પર હંમેશા સ્મિત હોય છે. તેનું રહસ્ય શું?’ તેનો જવાબ હું શોધી રહ્યો હતો. અમારું જહાજ્ જમૈકાના ‘ઓચો રિઓસ’ (આઠ નદી)માં રોકાયું. ત્યાં એક ધોધ જોવા ગયાં. ધોધના વહેતા પાણીને જોતાં અને જે રીતે બધા એક્મેકના હાથ પકડી લપસણા પથરા ઉપર ચડતા હતાં તે જોઈ મને મારો જવાબ મળી ગયો. માનસપટ પર ૭૫ વર્ષની જીવનયાત્રાનું ચિત્ર પસાર થવા લાગ્યું અને આ ૭૫ વર્ષની જીવનયાત્રા કેવી કેવી વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈ તેનું આબેહુબ ચિત્ર સ્મ્રુતિપટ ઉપર ખડું થવા માંડ્યું. આ જીવનયાત્રામાં કેટકેટલા સગા સંબંધીઓ અને મિત્રોએ મને જે સહકાર આપ્યો હતો તેનું વર્ણન શબ્દોમાં કંડારી શકાય તેમ નથી. જો આ સ્નેહીજનો અને મિત્રોનો સાથસહકાર ના મળ્યો હોત તો હું કદાચ ‘સ્લમડોગ મિલિયોનર’ના પાત્રોની જેમ ક્યાંનો ક્યાં ફેંકાઈ ગયો હોત. એ સહકારની કેડીએ જીવન પ્રફુલ્લિત અને જીવવા લાયક બની ગયું. મારા સ્મિત અને સ્ફુર્તિ નું રહસ્ય એ સહકાર જ છે. સહકારની એ જીવનયાત્રાના થોડાઘણા અનોખા અનુભવોનું વર્ણન શબ્દોમાં જોઈએ.
અમેરિકા જવાની તૈયારી
મુંબઈમાં એંજિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થયાં પછી નોકરી મળતી નહોતી એટલે હું મારા મિત્ર જે.પી.ના ઘરે એની સલાહ લેવા ગયો કે આગળ શું કરવું? જમવાનો સમય હતો એટ્લે હું એની સાથે જમીને ઊભો થયો ત્યારે જ એક ટપાલી એના ઘરે વિદેશની યુનિવર્સિટીની અરજીના ફોર્મના કાગળિયાં આપી ગયો. જે.પી.ને અમેરિકાની યુનિવર્સિટીઓમાંથી નિમંત્રણો આવતા હતાં. જે.પી. એ બધા જ નિમંત્રણો ભેગા કરીને મને આપ્યા અને કહ્યું કે મને કોઈ સંજોગોમાં મારા મા-બાપ વિદેશ નહીં જવા દે, તું આ બધામાં કોશિષ કરી જો. કદાચ તારો નંબર લાગી જાય.
મેં અલગ-અલગ યુનિવર્સિટીઓમાં અરજી મૂકી અને મને એમાંથી ચારમાં એડમિશન મળી ગયું. એ ચારેમાં બફેલો યુનિવર્સિટીની ફી સહુથી સસ્તી હતી એટલે મેં ત્યાં જવાનું પસંદ કર્યું. પણ ઘણા પ્રશ્નો ઊભા હતાં, જેમ કે અભ્યાસનો ખર્ચ કેમ કાઢવો? અમેરિકા જવાની ટિકિટનું શું? વળી, છેલ્લા વર્ષમાં હું ફ્ક્ત ૫૮ ટકા સાથે જ પાસ થયો હતો એટલે ફોરેન એક્સચેન્જ સરકાર તરફથી મળે તેમ નહોતું, એટલે એની વ્યવસ્થા પણ કરવાની હતી. એ સિવાય યુનિવર્સિટી તરફથી વિઝા માટે એપ્લાય કરીયે ત્યારે સ્પોન્સર લેટર જોઈયે કે જે તમારી આર્થિક જરૂરિયાતો માટે તમને સ્પોન્સર કરે.
કોલેજકાળ દરમ્યાન મને આર.ડી.શેઠના નામના ટ્રસ્ટમાંથી દર વર્ષે સ્કોલરશીપ મળતી હતી. હું તેમની ઓફિસે ગયો અને વિદેશમાં ભણવા માટેની સ્કોલરશીપ માટે ફોર્મ માંગ્યું તો તેમણે કહ્યું કે અમે વિદેશ અભ્યાસ માટે સ્કોલરશીપ નથી આપતા. હું નિરાશ થઈને પાછો ફરતો હતો ત્યાંજ તેમણે કહ્યું કે પણ અમે વિદેશ જવાની ટિકિટના પૈસા લોન તરીકે માત્ર વર્ષે ૨ ટકાના વ્યાજના દરે આપીએ છીએ. મેં તરતજ એમનું ફોર્મ ભરીને ત્યાં આપી દીધું. મારી લોન પાસ થઈ ગઈ.
મારો એક મિત્ર દિલિપ પંડ્યા જ્યોતિષમાં બહુ માનતો હતો. તે મને ભૂલેશ્વરમાં એક જ્યોતિષ પાસે લઈ ગયો. તેણે મારા હાથની રેખાઓ એક કાગળ પર ઉતારી પાચ રૂપિયા લીધા અને પછી આવવા કહ્યું અને અમે બે-ત્રણ દિવસ પછી એની પાસે ગયાં તો એમણે કહ્યુ કે મારા હાથમાં વિદેશ જવાની રેખા જ નથી માટે મારે વિદેશ જવાનું છોડી ને અહીં જ સ્થાયી થવું જોઈએ. અફસોસની વાત એ છે કે હજુ ગયા વર્ષે જ જે.પી. અને દિલીપ પંડ્યા પણ અમને સહુને મૂકીને સ્વર્ગે સિધાવી ગયા.
અમેરિકા જતાં પહેલા હું મારી મા ને એકવાર મળવા માંગતો હતો, પણ મા ક્યાં છે, એનું સરનામુ શું છે, કાંઈ ખબર નહોતી. કાકાને પૂછ્યું તો એમને પણ કોઈ ખબર નહોતી. છેવટે મને મારા ફોઈ યાદ આવ્યાં જે રાજકોટ રહેતા હતાં અને મા નું ગામ પણ ક્યાંક ત્યાં જ હતું એવું મને યાદ હતું. રાજકોટ પહોંચી મેં ફોઈને આજીજીભરી વિનંતિ કરી, “ફોઈ, મહેરબાની કરી મને એકવાર મારી મા નો મેળાપ કરાવી આપો.” ફોઈએ તરત જ પોતાના દીકરાને ગામ મોકલ્યો અને ભાભીને સાથે લઈ આવવાની તાકીદ કરી.
પંદર વર્ષે મા દીકરાનું મિલન થયું. તે વખતે મા દીકરાના હૈયાંમાં જે આનંદના ફુવારા ઉડ્યા તેનું વર્ણન શબ્દોમાં ક્યાંથી કંડારી શકાય? ફુઆએ હસતાં હસતાં મારી બા ગંગાબહેનને કહ્યું “તમારો દિકરો અમેરિકા જાય છે, એને પૈસાની જરૂર છે, તમે કાંઈ મદદ કરશો?” આટલા વર્ષોથી લોકોના ઘરના કપડાં વાસણ કરી ગંગાબહેનને જે પૈસા મળતાં એમાંથી ભાઈ ભાભીને પોતાનો ખર્ચ આપી થોડા થોડા રૂપિયા ક્યારેક દીકરાને મળીશ ત્યારે આપીશ એ આશામાં ભેગા કર્યાં હતાં તે ચારસો રૂપિયા તરત કમખાના ગજવામાંથી કાઢી દીકરાની હથેલીમાં ધરી દિધાં. અને હર્ષાશ્રુથી મને આશીર્વાદની સાથે સાથે ખૂબ જ ભારે હૈયે વિદાય આપી. મા દીકરાના આ સ્નેહભર્યા મિલનને હું જીવનપર્યંત ભૂલી શકું તેમ નથી.
મને અમેરિકા જવાની મુડી ભેગી કરવામાં આશીર્વાદની સાથે સાથે સહુ પ્રથમ નાણાંકીય સહાય મા પાસેથી મળી. મા દીકરાને એક જ અફસોસ રહ્યો, મારા પિતા હરિભાઈના જીવ્યાં મર્યાં ના કોઈ વાવડ આજ સુધી ના મળ્યાં! એ મારી બાના આશીર્વાદ જેને લીધે પેલા ભુલેશ્વરવાળા જ્યોતિષનું કથન સાચું ના પડ્યું. અને અમેરિકા જવા માટેનો ફંડફાળો શરૂ થઈ ગયો. મારા ફુવાના એક મિત્રે મને ૫૦૦ રૂપિયા આપ્યા અને એક બીજા મિત્રે (જે અમેરિકન રિટર્ન હતાં) મને પચીસ ડોલરનો ચેક આપ્યો અને કહ્યું કે આ તું અમેરિકા જઈને વાપરી શકીશ. પછી હું મુંબઈ આવ્યો અને મારા સગા-વ્હાલા અને મિત્રોમાં કોઈએ એ ૨૦૦ તો કોઈએ ૩૦૦ તો કોઈએ એનાથી વધુ એમ બધા એ પોતપોતાની શક્તિ મુજબ મને ફંડફાળામાં મદદ કરી અને મારી પાસે લગભગ ૧૦૦૦૦ રૂપિયા જેટલું ભંડોળ ભેગું થઈ ગયું. બધાને મેં બાહેંધરી આપી હતી કે એક વાર ભણવાનું પૂરું થઈ જશે એટ્લે હું બધાને પૈસા પાછા આપી દઇશ. ટિકિટ થઈ ગઈ, ફંડોળ ભેગું થઈ ગયું, હવે મારે સ્પોન્સર પત્ર અને ફોરેન એક્સચેંજની વ્યવસ્થા કરવાની હતી. મારા શાળાના એક મિત્ર મહેન્દ્ર નેગાંધીના ભાઈ અમેરિકાથી આવેલ, એટલે હું તેમને મળ્યો. તેમણે મને અમેરિકાથી સ્પોન્સર લેટરની વ્યવસ્થા કરી આપી.
મારા કાકીના સગપણમાં કોઈ હતું જે ફોરેન એક્સચેંજનું કામ કરતા હતાં. તેઓ રહેતા હતા નડિયાદ પણ હાલમાં તે વખતે મુંબઈ આવેલા હતાં એટલે હું એમને મળવા ગયો. તેમણે મને લગ્ન કરવાની રાહે તેમની ભત્રીજી દેખાડી અને કહ્યું કે આની સાથે સગાઈની હા પાડો તો તમારા ફોરેન એક્સચેંજની વ્યવસ્થા કરી આપું. મારે તેમને વિનમ્રપણે કહેવું પડ્યું કે મારે હાલ તો માત્ર ફોરેન એક્સચેંજની જ જરૂર છે અને હું સગાઈનો વિચાર કરતો નથી, એ જવાબદારી કાકા-કાકીની છે, એટલે એ કામ ત્યાં અટકી પડ્યું. અમારી જ્ઞાતીમાં ખૂબ પ્રતિસ્ઠિત એવા ગોવિંદભાઈ સોલંકીની અમેરિકામાં ખૂબજ ઓળખાણ હતી. હું, મારા કાકા, રામજી અદા, અને મારો ખાસ મિત્ર સુરેશ દાણી, અમે બધા ગોવિંદભાઈના ઘરે તેમને મળી ને વિનંતી કરવા ગયાં. ગોવિંદભાઈએ પોતાના અમેરિકાના અનુભવો વર્ણવ્યા. કેવી ત્યાંની જિંદગી હોય, અને કેવી રીતે છોકરાઓ ત્યાં જઈને બદલાઈ જાય છે, અને પાછા આવવાનું નામ નથી લેતા, વગેરે-વગેરે બધુ સમજાવ્યું, અને આ લેક્ચર આમ ૪૫ મિનિટ સુધી ચાલ્યું. એ બધું સાંભળીને મને તો એમ કે મારુ અમેરિકા જવાનું સ્વપ્ન હવે રોળાઈ જશે. પણ પછી મારા મિત્ર સુરેશ દાણીએ એમને એમના જેટલું જ લાંબુ પ્રવચન આપ્યું અને મારા ખૂબ વખાણ કર્યા. એણે એમને સમજાવ્યા કે મારો મિત્ર એવો નથી, હું એને વર્ષોથી ઓળખું છું. એ એવો ગેરમાર્ગે દોરવાઈ જાય તેવો નથી. એ એનું ભણવાનું વ્યવસ્થિત પતાવશે અને બગડશે નહીં, એની હું તમને બાંહેધરી આપુ છું. મારા મિત્રએ ગોવિંદભાઈમાં મારા માટે ૧૦૦% વિશ્વાસની લાગણી મૂકી દીધી. ગોવિંદભાઈ ખુશ થઈ ગયાં અને એમણે નિર્ણય લીધો કે ફોરેન એક્સચેંજની વ્યવસ્થા કરી આપવી. મેં ગોવિંદભાઈને ૧૦૦૦૦ રૂપિયા આપી દીધા અને ગોવિંદભાઈના એક મિત્રએ અમેરિકામાં મને ૧૦૦૦ ડોલરના ડ્રાફ્ટની વ્યવસ્થા કરી આપી.
અમેરિકન એમ્બેસીમાં એકજ જાતના પ્રશ્નો પૂછવામાં આવતા. શા માટે અમેરિકા જાવ છો? અભ્યાસ પછી નોકરી કરશો કે તરત પાછા ફરશો? જો જવાબ આપવામાં ચૂક થઈ તો વિઝા ના મળે, એટલે પૂરી તૈયારી કરીને જવું પડે. આ સિવાય વિઝાની તૈયારી રૂપે અમારે મેડિકલ ચેક-અપ માટે ડોક્ટર પાસે જવાનું હતું. એમાં મારા એક્સરેમાં છાતીમાં કાંઈ પડછાયા જેવુ આવ્યું એટલે ડોકટરે બીજી દિશામાંથી એક્સરે લીધા એમાં જાણવા મળ્યું કે એ ‘પરસિસ્ટંટ થાઈમસ’ છે. અમુક બાળક જન્મે ત્યારે એને થાઇમસ હોય છે પણ એ બાળક જેમ-જેમ મોટું થતું જાય એમ-એમ એ થાઈમસ ઓગળી જાય, પરંતુ મારામાં એ હજુ પણ હતું. પણ ડોક્ટરના નિદાન પ્રમાણે એ કાઈ વિશેષ ડરવાની વાત નહોતી અને અમેરિકા જવામાં કોઈ બાધારૂપ પણ નહોતી. અંતે વિઝા મળી મળી ગયાં. ૩૧ ઓગસ્ટ ૧૯૬૯ના હું મુંબઈથી અમેરિકા જવા રવાના થયો.
ક્રમશઃ
-
દિલીપ પરીખની એક અનોખી ચિત્ર શ્રેણી – આનંદ અનુભવ
રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ
‘નારી તું નારાયણી’ એ અંતરનાદ સાથે સર્જાયેલ ચિત્રો શક્તિ અને શાતા આપે છે. રંગો દ્વારા સ્નેહ અને સંવેદનાનો અને હાં…પ્રણયમસ્તીનો અનુભવ થાય છે.



દિલીપ પરીખના ચિત્રો વિશે એક સંક્ષિપ્ત નોંધ:
#1 CREATION. E=MC2 ના બે પાસા છે: ભૌતિકશાસ્ત્ર અને આધ્યાત્મિક. ભૌતિકશાસ્ત્રનું પાસું: પદાર્થ અને ઊર્જા એક જ વસ્તુની બે અલગ અલગ સ્થિતિ છે (આઇન્સ્ટાઇન) “બિગ બેંગ (સ્ટીફન હોકિન્સ). કેન્દ્રમાં ‘બ્લેક સર્કલ’ એક ‘બ્લેક હોલ’ રજૂ કરે છે – ઊર્જાનો સ્ત્રોત, જે દૃશ્યમાન બ્રહ્માંડ તરીકે પ્રગટ થાય છે. સર્જન.
# 2 BRAHMAN-MAYA. આધ્યાત્મિક પાસા. બ્રહ્માંડનો વિસ્તાર અને માયા.
આ ચિત્ર આ પહેલાના ચિત્રની હકીકત પછીનું Second Stage દર્શાવે છે. Big Bangના પરિણામે બ્રહ્માંડના વિસ્તારની પ્રક્રિયા શરૂ થઈ ગઈ (જે આજ સુધી ચાલે છે), પણ બ્રહ્માંડના વિસ્તારની સાથે પ્રકૃતિ અને પછી પ્રાણી અને મનુષ્યનું આગમન થયું. જ્યાં વિજ્ઞાન અટકે છે, ત્યાંથી પરમ તત્વ Take over કરે છે, અને આપણે એ વણઉકલ્યા પ્રશ્નોને પરમ તત્વની માયા તરીકે ઓળખીએ છીએ. ચિત્રકારે આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ નાજુક રીતે દર્શાવી છે. ચિત્રમાં વિસ્તરતું બ્રહ્માંડ, સ્ફોટક થતી શક્તિ, માયા-પ્રગટ ઊર્જા અને એની પાછળ બ્રહ્મ-અપ્રગટ, બધું જ ચિત્રકારે એક જ Frame માં સમાવી લીધું છે. બે ચહેરાઓ–આગળ પ્રકૃતિ અને પાછળ પુરુષ. દ્રશ્યમાન સર્જન અને અદ્રશ્ય સર્જક.

દિલીપ ૧૯૭૦ યત્ન ને પ્રયત્ન…
“આને તો કેવી સહેલાઈથી સફળતા મળી ગઈ!” એવું કહેનાર અબૂધ વ્યક્તિ અજાણ છે કે સફળતાના શિખર પર પહોંચતા પહેલાં કેટલા પગથિયાં ચડવા પડે છે!
દિલીપને વડોદરા ભણવા જવાની તક મળી પણ પોતાના ખર્ચ માટે સજાગ રહેવું પડતું. આગળ જતાં ભાભા એટોમિક અને બીજી સ્કોલશીપ મળતા વિદ્યાર્થી જીવન સરળ રહ્યું હતું. આજના અનુભવ સાથે એ વાત ફરી યાદ આવી.
આજે સેવાસંસ્થામાં આવતા ફોન-કોલનો જવાબ મારે આપવાનો હતો. મેં હેલો કહ્યું તો સામેથી સવાલ આવ્યો,
“મારું નામ સંચી છે અને આ મહિને કામ ઓછું મળવાથી ઈલેક્ટ્રિક બિલ ભરવાની તકલીફ છે. મદદ મળશે?”
મેં વિગત જાણી કહ્યું કે, “બીલ અમારી તરફથી ભરાશે ત્યારે જણાવીશ.” થોડા કલાક પછી સંચીને મેં ફોન જોડ્યો અને કહ્યું કે બીલ ભરાઈ ગયું છે. સંચીએ મિત્રતાના ભાવથી વાત ચાલુ રાખી નિખાલસતાથી બોલી, “ઘર સફાઈ અને બીજા કામ શોધું છું કારણ મારી દીકરીને અહીં સારી કોલેજમાં પ્રવેશ મળ્યો છે.”
મેં કહ્યું, “અરે! મારો પૌત્ર પણ એ જ કોલેજમાં જઈ રહ્યો છે.”
“દીકરીને હોસ્ટેલમાં રહેવાની સગવડતા કેમ કરવી એ ખબર નથી પડતી.” મેં સંચીને કહ્યું કે મારે ઘેર આવજે તેથી વધુ વાત થાય. મને એમ કે એકલી આવશે, અલ્લડ ઉંમરની છોકરી નહીં આવે. ત્યાં તો સમયસર એની દીકરી સાથે આવી. ગરીબ ઘરકામ કરતી સ્ત્રીની દીકરી, મારા પૌત્રની કક્ષાએ હાઈસ્કૂલ પાસ કરી નામચીન કોલેજમાં ભણવા જઈ રહી હતી!
“તમને મળીને આનંદ થયો, મારુ નામ મેલની.” તેની સરળતાથી વાતચીત કરવાની રીતથી હું પ્રભાવિત થઈ.
“સંચી, તું કામ શોધે છે એ વિશે અમારા બુલેટિનમાં મેં જાહેરખબર મુકી છે. મારે ત્યાં તું કામ શરૂ કરી શકે છે અને મેલની તને કોલેજ રહેઠાણ માટે જરૂરી માહિતી મોકલીશ.”
દિલીપ વાત સાંભળતા હતા. તેમણે કહ્યું, “મેલની, તારે ભણવા માટે જે પણ પૈસાની જરૂર પડે તે અમને વિના સંકોચ કહેજે.”
પોતાના સંઘર્ષોને માત કરી આગળ આવેલ વ્યક્તિ અન્યને વાણી, વર્તન કે લાગણીથી સ્પર્શ કરે છે ત્યારે મદદની સાથે આત્મવિશ્વાસ પણ આપે છે…

DKP. Painting donated for charity auction. સરયૂ પરીખ.
નોંધઃ: pictures do not justify original paintings.
Saryu Parikhસરયૂ પરીખ www.saryu.wordpress.com
-
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો..
સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધહસ્ત કલમકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ તરીકે કાર્યરત શ્રી હર્ષદભાઈ ત્રિવેદી એક અચ્છા કવિ પણ છે. છેલ્લાં ૪૦ થી પણ વધુ વર્ષોથી તેમની કલમ અવિરત ચાલતી રહી છે. થોડા વખત પહેલાં, ફરી એકવાર તેમની એક સુંદર કવિતા ‘ફૂલ પાંદડી ચાખી ત્યાં તો’ વાંચવામાં આવી જેનો આસ્વાદ લખવા માટે મન તૈયાર થઈ ગયું.અહીં પ્રગટ કરવાની સંમતિ આપવા બદલ શ્રી હર્ષદભાઈ ત્રિવેદીનો વે.ગુ. પરિવાર વતી ખૂબ આભાર.ગીતઃ
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી,
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.ઘેન ગુલાબી અંધારું
ને સહજ મદિલી ગંધ,
રોમ રોમ લગ પ્હોંચ્યાં કંપન
સરી પડ્યા સૌ બંધ;જાત રહી ઑગળતી એણે મણા કશી ના રાખી,
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી.ક્યાંક ઊતરતું ધુમ્મસ
ચડતું ક્યાંક અમસ્થું વાદળ,
સરી રહ્યું છે પર્ણ ઉપરથી
બુંદ બુંદમાં ઝાકળ;
અઢળક મોતી ઢળ્યાં જણાતી ધરાય ઝાંખીપાંખી!
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.~ હર્ષદ ત્રિવેદી
:આસ્વાદઃ
દેવિકા ધ્રુવ
ઉઘડતી સવાર જેવી ધ્રુવપંક્તિથી જ કુદરતના સૌંદર્યનું સોહામણું ચિત્ર ઉપસ્યું છે. ફૂલ-પાંદડી ચાખવાની કોમળ મુલાયમ સંવેદનાઓ, એવો જ હળવો લય લઈને નીસરે છે. પ્રકૃતિનો વિષય પણ એવો છે કે, એકવાર આંખને અડે અને દૄષ્ટિમાં વસે એટલે કવિ હૃદય અતલ ઊંડાણથી અનંત અવકાશ સુધી પહોંચી જાય.
કાવ્યની શરૂઆત એક ઉઘડતી જતી વહેલી સવારથી આરંભાય છે. ફૂલ-પાંદડી તરફ નજર જાય ને સૌથી પ્રથમ તો પંચેન્દ્રિયોમાંની પહેલી આંખ ધન્ય ધન્ય બની જાય. એને અડકો કે તરત સ્પર્શની રોમાંચક અનુભૂતિ થાય અને એ પછી ચાખો ત્યાં તો… ઓહોહો… આ સમગ્ર સૃષ્ટિ વિસ્મયભરી લાગે. અહીં જીભથી ચાખવાની વાત નથી, પરંતુ ફૂલની પાંદડીને ખીલવાની આખી જે પ્રક્રિયા છે તેને પામવાનો ઈશારો છે. કુદરતના કોઈપણ તત્ત્વને મૂળથી માંડીને વિચારવાની,જાણવાની એક અનોખી મઝા છે એવો સંકેત અહીં સમાયેલો છે.
સામે દેખાતી અને સવારની ઉઘડતી જતી દુનિયાની સાથેસાથે જાણે કે અંતરની બારી પણ ઉઘડતી અનુભવાય. ને પછી તો કવિ કહે છે કે, ‘અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી’. કેટલાં સુંદર શબ્દો પ્રયોજાયા છે? અતલ એટલે કે, સાત પાતાળમાંનું પહેલું પાતાળ. અને અવકાશ એટલે કે, ખાલી જગ્યા, આકાશ. આ બે શબ્દો દ્વારા કવિએ પૂરા બ્રહ્માંડની ઝાંખી થયાનો ભાવ વ્યક્ત કરી દીધો છે. ખરેખર, વહેલી સવારે ઓગળતો અંધકાર અને ધીરે ધીરે ખુલતો જતો ઉજાસ જેણે માણ્યો હોય તે જ આ ભાવનો આનંદ માણી શકે.
પહેલા અંતરામાં કવિએ સુંદર પ્રકૃતિ ચિત્ર ઊભુ કર્યું છે કે,
ઘેન ગુલાબી અંધારું
ને સહજ મદિલી ગંધ,
રોમ રોમ લગ પ્હોંચ્યાં કંપન
સરી પડ્યા સૌ બંધ;ખૂબ ઓછા પણ એકદમ યથોચિત શબ્દોમાં થયેલી અભિવ્યક્તિ મનભાવન બની છે. આછો આછો અંધકાર, ખુશનુમા પ્રભાતની સુગંધ, હવાનો શીળો કંપ..વગેરેનો લય પણ વાંચતાવેંત ગીતના ગુંજારવ સમો ઘેરી વળે છે. ગામડાની સવાર હોય કે અદ્યતન resortની ખુશનુમા પ્રભાત.. કુદરત તો કુદરત જ છે ને? એમાં જાત ન ઓગળે તો જ નવાઈ! તે સમયે કંઈ કેટલાય ફિલસૂફી ભર્યા વિચારોની આવનજાવન ચાલતી રહે છે ને માણસ પોતે જાણે આખો ને આખો એમાં ડૂબતો જાય છે. એટલું જ નહિ, કશુંક વિશેષ પામ્યાનો આનંદ પામતો જાય છે. ઈશ્વરની આ દેન કેટલી સમૃદ્ધ છે!
આમ, કાવ્યની શરૂઆતમાં અંધકારના ઉતરતા જતા ઓળા, ઉઘડતી જતી સવાર અને ફૂલપાંદડીનું સુંદર શાબ્દિક ચિત્ર આપ્યા પછી હવે બીજા અંતરામાં કવિ, એવા જ બીજા મનોહર દ્રશ્ય તરફ ભાવકને ખેંચી જાય છે.
ક્યાંક ઊતરતું ધુમ્મસ
ચડતું ક્યાંક અમસ્થું વાદળ,
સરી રહ્યું છે પર્ણ ઉપરથી
બુંદ બુંદમાં ઝાકળ;હજી સૂરજ તો ઊગ્યો નથી. ધીમે ધીમે જેમ અંધારું ઓછું થતું જાય છે, વાતાવરણ ધુમ્મસથી છવાયેલું જણાય છે અને રખડતાં વાદળ સહેજ ઉપર જતા દેખા દે છે, પાંદડાઓ ઉપર બાઝેલો ભેજ નીચે ઉતરતો જાય અને ઝીણાં ઝીણાં એનાં ટીપાં ઝાકળ બની કેટલાં સુંદર ખીલી ઊઠે છે ! પાંદડા ઉપર, ફૂલો ઉપર અને લીલાંછમ કૂણાંકૂણાં ધરતીને મઢીને બેઠેલાં ઘાસની ટોચ ઉપર પણ મોતીની જેમ શોભી ઉઠે છે. “મોતી વેરાણાં ચોકમાં” જેવું અનુપમ દૄશ્ય નીરખીને કવિને ધરતી પણ ઘડીભર ઝાંખીપાંખી લાગે છે. કારણ કે પળમાત્રમાં તો અતલ અને અવકાશની ઝાંખી થવા માંડે છે ! પાંદડી અને ઝાકળબિંદુ જેવાં નાનામાં નાનાં અંશમાં,તત્ત્વમાં પણ અખિલ બ્રહ્માંડ સમાયેલું છે! સ્થૂળ વસ્તુઓમાં પણ સૂક્ષ્મ નિરીક્ષણ અને કવિની કલ્પના અદ્ભૂત છે. સહૃદયી વાચક એ વાંચીને રોમાંચિત થયા વગર રહી જ ન શકે.
ધુમ્મસ અને વાદળ શબ્દ દ્વારા ભાવક-મનમાં એક બીજી પણ અર્થછાયા ઉપસે છે. અંતરમાંથી જાણે કે, કોઈ વિષાદનું ધુમ્મસ ઉતરતું અનુભવાતું હોય,વિચારોના વાદળ ઉપર જતાં લાગે અને મનનો કોઈ આછેરો અંધકાર ધીમે ધીમે ખસીને આશાભર્યા ઉજાસ તરફ ગતિ કરતો વર્તાય. આવે સમયે સવારની જેમ જ દેહમાં ચેતના,ઊર્જા, સ્ફૂર્તિ કેલાતી અનુભવાય તે આનંદ જ અવર્ણનીય હોય.
પ્રાકૃતિક વર્ણનનું આ કાવ્ય અભિધાથી આગળ વધી અતલ અને અવકાશના મર્મને ફરી એકવાર દોહરાવે છે જે મનોભાવમાં ઘેરો રંગ પૂરે છે, વધુ ઊંડાણમાં ખેંચી જાય છે. જે અતલ છે, જ્યાં અવકાશ છે, જેની સદીઓથી ખોજ થતી આવી છે તેની તો આ એક ઝાંખી માત્ર છે; એમ કહી કવિ અર્થને ખૂબ ઊંચાઈએ લઈ જાય છે. અહીં કવિત્ત્વ પૂરેપૂરું નીખરે છે.
આમ, બે જ અંતરામાં રચાયેલું આ નાનકડું કાવ્ય એનો પ્રવાહી લય, સરળ અને ઉચિત શબ્દો, ઝાકળ-વાદળ, બંધ-ગંધ,ઝાંખી-પાંખી-આખી જેવાં અંત્યાનુપ્રાસ, ચિત્રાત્મક્તા, અર્થગાંભીર્ય વગેરેને કારણે ખૂબ જ આસ્વાદ્ય બન્યું છે. સંગીતકારોએ સ્વરબદ્ધ કરેલ આ ગીત એકથી વધુ ગાયકોએ ગાયું પણ છે.
અંધારામાંથી ઉજાસ તરફ લઈ જતું આ ગીત કાવ્યપ્રેમીઓને માટે ખૂબ જ પ્રસન્નતાપ્રેરક છે.
અસ્તુ.
દેવિકા ધ્રુવ
Devika Dhruva.
ddhruva1948@yahoo.com -
સ્વરોજગાર વધ્યા પણ કમાણી વધી નથી
નિસબત
ચંદુ મહેરિયા
સ્વરોજગાર કરનાર વ્યક્તિ સાહસિક ગણાય કે લાચાર તે વિશે મતમતાંતર પ્રવર્તે છે. જોકે સ્વરોજગાર કરનાર વ્યક્તિમાં કેટલાક ગુણ કે લાયકાત હોવા જરૂરી છે.
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન(ILO) ના જણાવ્યા પ્રમાણે વિશ્વમાં સ્વરોજગારીનો દર ૪૨.૫ ટકા છે. જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં અમેરિકામાં ૧૬.૩ મિલિયનથી વધુ લોકો સ્વરોજગારથી રોજી મેળવતા હતા. ભારતમાં સ્વરોજગારથી રોજી મેળવતા અસંગઠિત અને નાના વ્યવસાયોની સંખ્યા ૨૦૨૩-૨૪માં ૭.૩૪ કરોડ હતી. ૨૦૨૫માં તે વધીને ૭.૯૨ કરોડ થઈ છે. એટલે એક જ વરસમા સ્વરોજગારના ક્ષેત્રમાં ૫૮ લાખ નાના અને સૂક્ષ્મ વ્યવસાયો વધ્યા છે.
જે લોકો બીજા પાસેથી પગાર કે વેતન મેળવવાને બદલે પોતાનો ધંધો કે વ્યવસાય કરીને કમાણી કે આવક મેળવે છે તે સ્વરોજગાર(Self Employment) છે. . નાનકડી દુકાન, ખુમચો, લારી, ફેરી, જાહેર સડકો અને સ્થળો પર ફરસાણ બનાવી વેચે, શાકભાજી, ફળો અને દૂધની ફેરી કરે, અગરબત્તી બનાવે, બીજાના ઘરના કામો કરે, કપડાં કે ઘરની મરામતનું કામ, સ્થાનિક સેવાઓ આપે, આઈસ્ક્રીમ, ગોળા, બરફ અને કુલ્ફી વેચે, રમકડાં અને ફુગ્ગા વેચે- આવા બીજા અનેક કામો સ્વરોજગાર ગણાય. સ્વરોજગાર કરનાર વ્યક્તિ કામ શોધનાર મટી બીજાને કામ આપનાર બને છે. તે માલિક કે નોકરીદાતાને બદલે ગ્રાહકો પાસેથી વેતન કે પગાર મેળવે છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી સ્વરોજગાર કરનાર વ્યક્તિ સાહસિક ગણાય કે લાચાર તે વિશે મતમતાંતર પ્રવર્તે છે.જોકે સ્વરોજગાર કરનાર વ્યક્તિમાં કેટલાક ગુણ કે લાયકાત હોવા જરૂરી છે. જેમકે તે વ્યક્તિ સ્વતંત્ર વિચારો ધરાવતી હોવી જોઈએ અને કોઈના તાબામાં કામ કરવા રાજી ન હોય તેવા સ્વભાવની હોવી જોઈએ. તેનામાં કૌશલ્ય, અથાક મહેનત , મજબૂત પ્રતિભા અને સેવાના ગુણ હોવા આવશ્યક છે. સ્વરોજગાર કરતી વ્યક્તિની આવક કે કમાણી બજારની માંગ પર નિર્ભર હોય છે અને તે અનિશ્ચિત હોય છે તેથી તેની આવક પણ નિશ્ચિત હોઈ શકતી નથી. સ્વરોજગારના આરંભે જોખમ અને અનિશ્ચિતતા હોય છે. બચત અને મૂડી જરૂરી છે. જે વ્યક્તિમાં કોઈના પ્રત્યે ઉત્તરદાયી હોવાનું વલણ ન હોય તે સ્વરોજગારમાં સફળ થઈ શકે નહીં.
લાભદાયક વ્યવસાયનો વિચાર ધરાવતી અને સફળ વ્યવસાયી બનવા માંગતી વ્યક્તિ બાંધ્યા પગારની સલામત નોકરી છોડીને સ્વરોજગાર અપનાવે તો તે સાહસ છે પરંતુ બધા સ્વરોજગારને સાહસ માનવા તે ભ્રામક છે. અન્ય રોજગારની તકના અભાવે સ્વરોજગાર કરવો તે વ્યક્તિની મજબૂરી છે. સલામત અને ચોક્કસ વેતનની નોકરીઓ ઓછી છે તેના કારણે લોકો સ્વરોજગાર કરે છે તે સચ્ચાઈ સ્વીકારવી રહી. એક અંદાજ પ્રમાણે પોણા ભાગના લોકો અન્ય રોજીનો સારો વિકલ્પ ન મળતાં સ્વરોજગાર કરે છે તે હકીકત કડવું સત્ય છે.
ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હસ્તકની નેશનલ સ્ટેટેસ્ટીકલ ઓફિસ( NSO)નો તાજેતરનો અહેવાલ ” અસંગઠિત ક્ષેત્રના ઉધ્યમોનું વાર્ષિક સર્વેક્ષણ ૨૦૨૫” નાના વ્યવસાયો અને સ્વરોજગારની વાસ્તવિક આર્થિક સ્થિતિની વિસ્તૃત જાણકારી આપે છે અને કેટલીક ચોંકાવનારી સચ્ચાઈ ઉજાગર કરે છે. જાન્યુઆરી ૨૦૨૫ થી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન હાથ ધરાયેલ આ સર્વેક્ષણ ઘણું વ્યાપક હતું. દેશભરના કુલ ૬,૭૦,૬૫૦ વ્યવસાયો તેમાં આવરી લીધા હતા. તેમાં શહેરોના ૩.૭૬ લાખ અને ગામડાનાં ૨.૯૪ લાખ વ્યવસાયોને સામેલ કર્યા હતા.
દેશમાં સૂક્ષ્મ અને નાના વ્યવસાયો તથા સ્વરોજગારમાં વધારો થયો છે અને લગાતાર વધારો થતો રહે છે પરંતુ સ્વરોજગાર કરનારની કમાણી લઘુતમ વેતન કરતાં પણ ઓછી છે તે સત્ય આ સરકારી સર્વેક્ષણમાં જાણવા મળે છે. રોજગાર અને વેપારમાં વૃધ્ધિ આર્થિક ગતિવિધિનો સંકેત માની શકાય પરંતુ NSO નો રિપોર્ટ દર્શાવે છે કે નાના વેપારની આવક, ઉત્પાદકતા અને સામાજિક સલામતી ખૂબ જ નબળી છે. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે દરેક ધંધાદીઠ સરેરાશ કુલ મૂલ્યવર્ધન( GROSS VALUE ADDED-GVA) વાર્ષિક રૂ. ૨.૫ લાખ છે. તે માસિક રૂ. ૨૦,૮૮૦ અને દૈનિક રૂ. ૬૮૫ થાય છે. કામદારદીઠ GVA રૂ. ૧.૬ લાખ છે. એ હિસાબે દર મહિને રૂ. ૧૩.૩૦૦ અને રોજના રૂ.૪૪૦ થાય છે. પરંતુ રૂ. ૪૪૦ પણ સ્વરોજગાર કે નાનો ધંધો કરનાર વ્યક્તિની રોજની વાસ્તવિક કમાણી નથી. તેમાં કાચો માલ, ધંધાની જગ્યાનું ભાડુ, વીજળી, પરિવહન અને બીજા ખર્ચ સામેલ છે તે બાદ કરતાં તેની રોજની આવક રૂ. ૪૪૦ થતી નથી. દેશના મોટાભાગના રાજ્યોમાં બિનખેતીક્ષેત્રના અસંગઠિત શ્રમિકોનું માસિક રૂ. ૧૫,૦૦૦ કે તેથી વધુ લઘુતમ વેતન નક્કી કરેલ છે. એટલે સ્વરોજગાર કરનાર કે નાના ધંધા કરનાર વ્યક્તિને લઘુતમ વેતનથી પણ ઓછી આવક થાય છે.
આ સ્થિતિનો ખ્યાલ આવતા એવો સવાલ થવો સ્વાભાવિક છે કે જો આટલી ટૂંકી કમાણી હોય તો લોકો નાનો ધંધો કે સ્વરોજગાર શા માટે કરે છે? તેનો સરળ જવાબ તો બેઠા કરતાં બજાર ભલી છે. ગરીબો માટે પર્યાપ્ત કમાણી કરવાની પૂરતી તકો નથી. પર્યાપ્ત રોજગારની તકોના અભાવે તે સ્વરોજગાર તરફ વળે છે અને ભવિષ્યમાં સ્થિતિ સુધરશેના આશાવાદમાં જીવે છે. અધિકતર ગરીબો તો બીજા કામના અભાવે લાચારીથી સ્વરોજગાર કરે છે સ્વરોજગાર છોડવાનો તેમનો વિચાર બેરોજગાર રહેવાનો કે કશું ન કમાવાનો, તેથી ભૂખે મરવાનો છે એટલે તે સ્વરોજગારને પકડી રાખે છે.
અસંગઠિત ક્ષેત્રના નાના વેપારીઓ, સ્વરોજગાર કરનાર માટે વેપારનો વિસ્તાર કરવો કઠિન છે. નવી મશીનરી ખરીદવા તે સક્ષમ નથી. આધુનિક મશીનો માટે તે રોકાણ કરી શકે તેમ નથી. ધંધાના વિકાસ માટે તેમને બેન્કોનું ધિરાણ સરળતાથી મળતું નથી. મર્યાદિત પૂંજી અને પૂરતી નાણાકીય સહાયતાનો અભાવ તેમના માર્ગની મુખ્ય અડચણો છે. સીમિત મૂડી, નબળી સામાજિક સલામતી, ઓછી આવક અને ઓછું ઉત્પાદન આ ક્ષેત્રના મુખ્ય પડકારો છે.
સ્વરોજગાર અને સૂક્ષ્મ તથા લઘુ વેપારના વિકાસ માટે સરકારે સરળ અને સસ્તી બેન્ક લોન ઉપલબ્ધ કરાવવી જોઈએ. તેમના ઉત્પાદનને બજાર સુધી કે ગ્રાહકની માંગ સુધી લઈ જવાના માર્ગો ખોળવા જોઈએ. નવી ટેકનિક્ની સહાયતા, ધંધાનો પ્રચાર, કૌશલ્ય વિકાસ અંગેની તાલીમ – જેવી સુવિધાઓ ઉભી કરવાથી નાના વ્યવસાયીઓને રક્ષણ મળશે. રોજગારની તકો કાયમી બનશે. નવા રોજગાર પેદા થઈ શકશે. દેશની આર્થિક વૃધ્ધિ, નવી રોજગારીનું નિર્માણ અને આત્મ નિર્ભરતાનો આધાર સ્વરોજગાર અને નાના ધંધા બની શકે તેમ છે. આજે સ્વરોજગારનો વિકાસ થયો છે હવે તેમાં કમાણી કઈ રીતે વધી શકે તેમ છે તેના રસ્તા શોધવાના છે. જો દુનિયામાં સ્વરોજગારનું પ્રમાણ કુલ રોજગારમાં ૪૦ ટકા કરતાં પણ વધુ હોય અને કેટલાક સ્વરોજગાર સારી કમાણી આપતા હોય ત્યારે સ્વરોજગારને રોજગારની સશક્ત તક અને આર્થિક વૃધ્ધિનો મજબૂત આધાર માનીને તેને પ્રાથમિકતા આપવી જોઈએ.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
નવી લેખમાળાની શરૂઆત – પ્રાસ્તાવિક | ખેંચાયેલો વરસાદ
સ્વભાવે સાહિત્ય સર્જક અને વ્યવસાયે શિક્ષક હોવા ઉપરાંત માવજીભાઈ ક્ચ્છમાં વગાડવામાં આવતા ઢોલના વિવિધ તાલ તેમજ કચ્છી લોક્સંગીતની આગવી સૂઝ ધરાવે છે.
શ્રી માવજીભાઈના વિજ્ઞાનની શોધોના ઇતિહાસ અને ભારતીય સમાજ પર તેની અસરોને પ્રતિબિંબીત કરતા, ‘સમયચક્ર’ શીર્ષક હેઠળના, નિબંધો ‘સમયચક્ર’ ૨૦૨૦માં વેબ ગુર્જરી પર પ્રકાશિત થઈ ચુકેલ છે.
હવે શ્રી માવજીભાઈ મહેશ્વરીના હળવા નિબંધો આપણે દર મહિનાના પહેલા સોમવારે વેબ ગુર્જરી પણ માણીશું.
વેબ ગુર્જરીના નિમંત્રણના ખુબ જ સાલસ અને તત્કાળ પ્રતિભાવ માટે વેબ ગુર્જરી શ્રી માવજીભાઈ મહેશ્વરીનો હાર્દિક આભાર માને છે.
સંપાદક મડળ, વેબ ગુર્જરી
હળવા નિબંધો
ખેંચાયેલો વરસાદ
માવજી મહેશ્વરી
આ લખું છું ત્યારે બે ભિન્ન દશ્યો મારી આંખો સામે છે. વર્તમાનપત્રનાં પહેલાં પાના ઉપર દેશના વડાપ્રધાને દેશમાં પડેલા ઓછા વરસાદની ચિંતા કરી હોવાના સમાચાર છે અને અત્યારે આકાશ વાદળોથી ગોરંભાઇ ગયું છે. બેય સરકાર છે. એક સરકાર જે દેશ ચલાવે છે, રાજ્ય ચલાવે છે. બીજી સરકાર જે જડ, ચેતન સહિતનું આખું વિશ્વ ચલાવે છે. એક સરકાર જે માણસોની બનેલી છે, માણસોએ બનાવેલી છે. જે બંને છે અને તૂટે છે. બીજી સરકાર છે તે અદશ્ય છે. એની હાજરી કરતાં ગેરહાજરીની વધારે નોંધ લેવાય છે. એ સરકાર એટલે ઇન્દ્રદેવની સરકાર. વરુણદેવની વ્યવસ્થા, રાજાઓના રાજા મેઘરાજાની સરકાર. મેઘરાજાએ આ વખતે લગભગ સરેરાશ દેશના પ્રદેશો સામે નારાજ થયા છે. અષાઢ ગયો. હવે શ્રlવણ પણ ખાસ્સો વિતી ગયો છે. હજુ વરસાદના કોઈ બળુકા એંધાણ નથી. જાણે મેધરાજા અને પવનદેવ વચ્ચે એકબીજાને હરાવવાની હરીફાઈ ચાલી રહી છે. મેઘરાજા મંડપ બાંધે છે, વાદળાં ભેગા કરે છે. જાણે હમણાં હૂકમ છૂટે અને વરસી પડીએ તેમ વાદળાં સુખના ભારથી રડી પડતી આંખોની જેમ વરસવા તત્પર થઈ જાય છે. તેજ વખતે પવનના વેગીલા અશ્વો એટલા પ્રબળ વેગથી ધસી આવે છે કે વાદળનું દળકટક આમતેમ ભાગે છે. એક બીજામાં અથડાઈને થોડાંક ટીપાં ધરતી પર વરસાવતાં જાય છે. પોતાની વ્યથાનાં વિતકની ગાથા જેવા.
આ ખેલ છેલ્લા દોઢેક મહિનાથી ચાલે છે. ઘરતી પરનો મનેખ નેજવું કરીને ઉપર જુએ છે. ઉપર બેઠેલી સરકાર નીચે જુએ છે કે નહીં તેની કોઈને ખબર નથી. છતાં મનેખ એમ માને છે, એમ માનીને જીવે છે કે ઉપરથી કોઈક જોઈ રહ્યું છે. આ છે શ્રદ્ધા! ક્યારેક વિચાર આવે કે એવો કોઈ માણસ નથી જેનાં જીવનમાં ક્યારેય દુઃખ ન આવ્યું હોય. એવો કોઈ દેશ કે પ્રદેશ નથી જ્યાં કુદરત વિફરતી ન હોય. તો પછી એજ કુદરત પર અપાર શ્રદ્ધાનાં મૂળિયાં ક્યાં પડેલા છે? બહુ જ રસપ્રદ મુદ્દો છે. માણસ અતિ સામર્થ્યવાન પ્રાણી છે. તેણે આકાશને આંબ્યું છે, પર્વતોને સર કર્યા છે, નદીઓને નાથી લીધી છે. કેટલાય રોગો જડમૂળથી નાબૂદ કરી દીધા છે. દરિયાનાં તળ તાગી લીધાં છે. પવન વેગી વાહનો બનાવી દીધાં છે. એક જ પળમાં વિનાશ સર્જી દે તેવી વિસ્ફોટક સામગ્રી બનાવી લીધી છે. જ્યાં જળ હતું ત્યાં સ્થળ અને જ્યાં સ્થળ હતાં ત્યાં જળ કરી દીધાં છે. આટઆટલી તાકાત ધરાવતો માનવી તેમ છતાં કુદરતને ઘુંટણિયે પડી જાય છે, શા માટે? કયું તત્વ એને ઝુકાવી દે છે?
વરસાદ જરા મોડો થાય અને લોકો મેઘરાજાને રીઝવવા માટે પ્રાર્થનાથી માંડીને યજ્ઞો કરાવવા મંડી પડે. ધરતી પર વાવાઝોડાં, ભૂકંપો, રોગચાળા ન આવે તે માટે એ કુદરતને સતત વિનવણીઓ કરતો રહે છે. માણસ આવું શા માટે કરતો હશે? ગમે તેવો સમર્થ માણસ પણ દિવસમાં એકાદવાર મનોમન કુદરત સામે નમી પડે છે. આવું શા માટે થતું હશે? આ સમજવા માટે આપણાં લોહીમાં ઊંડે ઉતરવું પડે. આપણી માટી તપાસવી પડે. આપણે ક્યાંથી આવ્યા અને આપણો સર્જનહાર કોણ છે એ તપાસવું પડે. એ તપાસ એટલે અચાનક પરમતત્વને શરણે થઈ જવાની, ઝુકી પડવાની પેદા થતી ઈચ્છા. જયારે પરમતત્ત્વ સામે આપણું સામર્થ્ય ઝુકી પડે ત્યારે સમજવાનું કે આપણને હજુ કશુંક જોઇએ છે. જે આ દુનિયામાંથી મળ્યું તે અધૂરું છે. આપણે બળ, કળ અને છળથી જે કંઈ મેળવ્યું તે અર્થ વગરનું છે. ખરેખર તો મેળવવા જેવું કઈંક જુદું છે. આ કઈંક જુદું મેળવવાની ઝંખના પ્રબળ બને છે ત્યારે કુદરત સામે હાથ જોડાઈ જાય છે જ્યાંથી ઈશ્વરની શોધ કહો, મનની શાંતિ કહો કે મનુષ્યના સામર્થ્યની મર્યાદા કહો. આવી ક્ષણે જ મનની અંદર એક ઝબકાર થતો હોય છે. એ ઝબકાર શેનો છે તેનો વિચાર કરવાનો હોય છે. એ ઝબકારનાં મૂળિયાં તપાસવાનાં હોય છે.
વરસાદ ખેંચાયો છે. જો વરસાદ નહીં આવે તો ધરતીપુત્રો જ નહીં, સમસ્ત પ્રાણીઓ થોડી કે વધારે મુશ્કેલીમાં પડવાના. આમ તો દરેક માણસને ખબર છે કે હવે પહેલા જેવો સમય નથી કે તે ભૂખે મરી જાય. વરસાદ માત્ર અન્ન ઉગાડવા કે પીવાનાં પાણીના જથ્થા માટે જ નથી વરસતો. વરસાદ કુદરતના પ્રત્યક્ષ પુરાવારૂપે આવે છે. એ સમય સમય પર પોતાની હાજરી પુરાવે છે.
સમયસર આવતા વરસાદને આપણે એક ભૌગોલિક ઘટના ગણી લઈએ છીએ. પણ જયારે વરસાદ નથી અવતો ત્યારે કુદરતને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે મેધરાજા તું આવ! આ પોકાર જ આપણી તમામ સરકારોથી ઉપર પણ એક મોટી સરકાર બેઠી છે તેની નિશાની છે. કુદરત સામે હૈયામાંથી ઉઠતા પોકાર ‘આપણે કંઈ જ નથી, આપણી શક્તિઓ કંઈ જ નથી, આપનારો એક તું ઉપરવાળો છે’ એવું બતાવે છે. એ આપણી ઈશ્વર સામે પામરતાનો સ્વીકાર છે. જ્યાં સુધી માનવી પોતાને કુદરતથી પાછળ રાખીને ચાલશે અથવા તો કુદરતના નિર્ણયોને માથે ચડાવતો રહેશે ત્યાં સુધી વરસાદ સમયસર જ પડશે. સમયસર ઠંડી અને ગરમી પડવાની. સમયસર વૃક્ષો ફૂલવાનાં અને ફળવાનાં. તો જ ઋતુએ ઋતુએ ફૂલો ખીલશે, ધરતી ધાન પકવશે, માતાના શરીરમાં જીવ પિંડ બંધાશે, ખાધેલા અન્નમાંથી લોહી બનશે. આ બધું ત્યાં સુધી ચાલ્યા કરશે જ્યાં સુધી માણસ કુદરતનો આદર કરતો રહેશે. જો મનુષ્ય કુદરતના કાર્યમાં ખલેલ નહીં પહોંચાડે.
પરંતુ જો માણસને પોતાના સામર્થ્યનું અભિમાન જાગશે, હું જ આ જગતનો અધિપતિ છુ એવું વિચારવા લાગશે ત્યારે કુદરત એકાદ ચેતવણી આપીને પછી પોતાનું કામ શરૂ કરશે. તે પછી કદાચ માણસને પ્રાર્થના કરવાનો પણ સમય નહીં મળે.
લ્યો ત્યારે આવજો. રામ રામ.
શ્રી માવજીભાઈ મહેશ્વરીનો સંપર્ક mavji018@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈ નજર રાખી રહ્યું છે
મંજૂષા
વીનેશ અંતાણી

ઘણાં વર્ષો પહેલાં સાહિત્યકાર અને મિત્ર સનત ભટ્ટના નિમંત્રણથી અમે થોડા મિત્રો આદિવાસીઓનો ‘દશેરો’ માણવા છોટા ઉદેપુર ગયા હતા. દશેરાની સવારથી જ સેંકડો આદિવાસી યુવક-યુવતીઓ, કિશોર-કિશોરીઓ એમના વિસ્તારમાંથી છોટા ઉદેપુરમાં ઊતરી આવ્યાં હતાં. સાંજ પડી ત્યાં સુધીમાં છોટા ઉદેપુરની બજારનો ચોક અને રસ્તા એમનાં નૃત્યો, ગીતો અને પાવાવાદનથી ગૂંજી ઊઠ્યા હતા. ક્યાંય પગ મૂકવાની જગ્યા નહોતી. ભરચક ભીડમાં એક આદિવાસી છોકરો એને ગમી ગયેલી આદિવાસી છોકરીને કોઈની પરવા કર્યા વિના અપલક જોઈ રહ્યો હતો. છોકરી પણ એની સામે નજર માંડી આંખ ઢાળી દેતી હતી.
એ ‘જોવું’ જુદું હતું. આજે કેટલીય અદૃશ્ય આંખો આપણા પર નજર રાખી રહી છે એ સ્થિતિ અલગ છે. કોઈ આપણને જુએ છે એવો અહેસાસ સતત મનમાં રહે છે. ઘરમાં, પારિવારિક મિલનમાં, રસ્તા પર, મોલમાં, ધર્મસ્થાનોમાં, અજાણ્યાઓની વચ્ચે, ઓનલાઇન કશુંક સર્ચ કરતા હોઈ કે કશુંક પોસ્ટ કરતા હોઈએ ત્યારે અચાનક લાગે છે કે કોઈ આપણામાંથી કશુંક શોધે છે, આપણને જજ કરે છે અને અભિપ્રાયો બાંધે છે. જરૂરી નથી કે એવો અહેસાસ હંમેશાં આપણો વહેમ હોય.
ટેક્નોલોજીએ દુનિયાને અદૃશ્ય આંખોની ભેટ ધરી તે પહેલાંના સમયથી અંગત પરિવાર, પાડોશીઓ, સમાજ અને સરકાર આપણા પર નજર રાખતા આવ્યાં છે. આજે એ અનુભવ વ્યાપક અને તીવ્ર બન્યો છે. સાવર્જનિક સ્થળોમાં મૂકેલા કેમેરા, ઓનલાઇન ટ્રેકિંગની સુવિધા, ચહેરાની ઓળખ કરતાં સોફ્ટવેર વગેરે અસંખ્ય આંખો આપણા પર મંડાઈ છે. આપણી જાણ બહાર આપણા ડેટા એકઠા કરવામાં આવે છે. એક વાર ઓનલાઇન ખરીદી કરવા સર્ચ કર્યું હોય તે સાથે જ આપણી સામે એવા જ પ્રકારની પ્રોડક્ટની જાહેરાતોનો ખડકલો થઈ જાય છે. લોકો જે કરે છે, જ્યાં જાય છે ત્યાં એમની ડિજિટલ નિશાનીઓ છોડતા જાય છે.
આજના સમયમાં આપણા પર નજર રાખવામાં આવી રહી છે એ સ્થિતિ વરવી વાસ્તવિકતા બની ગઈ છે. બ્રિટનના સુપ્રસિદ્ધ લેખક જ્યોર્જ ઓરવેલની પોલિટિકલ નવલકથા ‘નાઇન્ટીન એઇટી ફોર’ ૧૯૪૯માં પ્રકાશિત થઈ. એમાં એમણે નાગરિકોની દરેક હિલચાલ પર નજર રાખતા ‘બિગ બ્રધર’ની કલ્પના કરી છે. એ નવલકથાનું એક વાક્ય ‘બિગ બ્રધર ઇઝ વૉચિંગ યૂ’ આજની દુનિયાનું સત્ય બની ગયું છે. એમાં એમણે સર્વેલન્સ, પ્રોપેગન્ડા અને ભયના વાતાવરણમાં જીવતા સમાજનું ભયાવહ ચિત્ર આપ્યું છે. કોઈ જોતું હોય કે ન જોતું હોય, છતાં કોઈ આપણા પર નજર રાખી રહ્યું છે એ દહેશત લોકોના વાણી-વર્તન પર અસાધારણ અસર કરે છે એ વિચાર આજે સાચો સાબિત થઈ રહ્યો છે.
થોડાં વર્ષો પહેલાં લોકોની પ્રામાણિકતાનું સર્વેક્ષણ કરવા એક મોલમાં પેમેન્ટ કાઉન્ટરની પાછળ બે આંખોનો મોટો ફોટો મૂક્યો હતો. ત્યાર પછી વધારે પ્રામાણિકતાથી પેમન્ટ કરતા ગ્રાહકોની સંખ્યામાં સારો એવો વધારો થયો હતો.
ફેન્ચ ફિલોસોફર મિશેલ ફૂકોએ ઘણાં વર્ષો પહેલાં કેદીઓ પર નજર રાખવા માટે અલગ પ્રકારની જેલનો કન્સેપ્ટ વિચાર્યો હતો. જેલની કોટડીઓ વર્તુળાકારમાં અને સેન્ટરમાં એક જ ગાર્ડ બધા કેદીઓને જોઈ શકે એવું વૉચ ટાવર એ પ્રકારની ડિઝાઈન એમણે બનાવી હતી. કેદીઓને ખબર ન પડે કે ચોક્કસ ક્ષણે ગાર્ડની નજર એના પર છે કે કેમ. તેમ છતાં ગાર્ડ જોઈ રહ્યો છે એટલી સભાનતા પણ એમને શિસ્તમાં રાખવા પર્યાપ્ત થાય એવો એમનો ખ્યાલ હતો. ફૂફો માનતો હતો કે આધુનિક સમયમાં કોઈ જોતું ન હોય છતાં કોઈ જોઈ રહ્યું છે એવો વહેમ પણ લોકોના માનસ પર અસર કરે છે.
આધુનિક ટેક્નોલોજીના ઉદય પહેલાંના સમયથી ઘણા દેશોમાં રાજસત્તા દ્વારા લોકો પર ચાંપતી નજર રાખવાની પદ્ધતિ અમલમાં હતી. અત્યારે પણ છે. સત્તાધારી પક્ષો એમના વિરોધી પક્ષના નેતાઓ પર તો નજર રાખે જ, પોતાના પક્ષના મહત્ત્વાકાંક્ષી લોકોની હરકતો પર પણ નજર રાખે છે. ઘણા દેશોમાં શંકાસ્પદ વલણ ધરાવતા લોકોની બધી મહિતી એકઠી કરવામાં આવે છે, જેથી શંકાના દાયરામાં આવેલા લોકો કોઈ કાવતરું કરે તે પહેલાં જ એમના પર પ્રહાર કરી શકાય.
દેશની સુરક્ષા અને ગુનાની પ્રવૃત્તિ ડામવા માટે એ વ્યવસ્થા જરૂરી છે, છતાં એમાં લોકોના વ્યક્તિસ્વાતંત્ર્યના અધિકાર પર તરાપનો મુદ્દો પણ ઊભો થાય છે. આપણને નાનપણથી કહેવામાં આવે છે કે ભગવાન બધું જુએ છે. એનાથી કશું છાનું નથી. આપણા મનમાં ચાલતા વિચારોની પણ એને ખબર પડી જાય છે. આ સમજથી આસ્તિક લોકોના મનમાં આશ્વાસનનો ભાવ રહે છે કે કોઈ પણ મુશ્કેલીમાં દૈવી શક્તિ ઉગારી લેશે.
ધાર્મિક આસ્થા બળ આપે છે, પરંતુ પરમ શક્તિની નજર આપણા પર છે એવી સભાનતાથી ક્યારેક લોકોમાં બિનજરૂરી અપરાધભાવ પણ જાગે છે. કુટુંબમાં આપણે એકબીજાને ધ્યાનથી જોતા રહીએ છીએ. સંતાનોમાં આવતો નાનામાં નાનો ફેરફાર માતાપિતાની નજરમાંથી છટકતો નથી. સંતાનો પણ વડીલોને જોઈ ઘણું શીખે છે. નજીકનાં સગાંસંબંધીઓ એકમેકના પરિવારે લીધેલા નિર્ણયોને રસપૂર્વક અને ક્યારેક ટીકાની નજરે તપાસે છે. પાડોશીઓની નજર બીજાના પહેરવેશ અને પ્રવૃત્તિઓ પર રહે છે. કોણ કોને મળવા આવ્યું, કોણ કેટલા વાગે ઘરમાંથી બહાર ગયું અને ક્યારે પાછું આવ્યું એવી બાબતો નોંધાતી રહે છે. ઘણી વાર એ પ્રકારનાં નિરીક્ષણોથી લોકોની, ખાસ કરીને યુવાપેઢીની, ચાલચલગત વિશે ગેરસમજ ફેલાય છે.
કોઈની નજર આપણા પર છે એ પ્રવર્તમાન વાસ્તવિકતાનાં સારાં અને નરસાં બંને પાસાં છે. એ વિશે વધારે પડતી સભાનતાથી બચી શકાય તો જીવનમાં શાંતિ અને સ્વાભાવિકતા પાછી મળે. સૌથી મહત્ત્વની બાબત છે આપણી જ આપણા પર નજર. આપણી ભીતર ધબકતા જણને પેલા આદિવાસી છોકરાની જેમ અપલક તાકતા રહેવું સ્વસ્થ જીવનની પહેલી શરત છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
