વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • કેળવણીનાં શિલ્પી : કુ. એન સુલીવાન

    દીઠે અડસઠ જાત્ર

    દર્શના ધોળકિયા

    ભારતીય ચિંતન મનુષ્યજીવનના ઘડતરમાં માતા, પિતા અને ગુરૂ – એ ત્રણ શક્તિઓનું મહત્ત્વ પ્રપત્તિભાવે સ્વીકારે છે. મનુષ્યમાં સુષુપ્ત રીતે પડેલી પ્રતિભા, માતા-પિતા દ્વારા વાવવામાં આવી હોય તો ગુરુ એનું સંમાર્જન કરે છે, એને સંકોરે છે. ગુરુનું કાર્ય આ અર્થમાં દુષ્કર છે. શિષ્યમાં રહેલું હીર તેને ઓળખતાં આવડવું જોઈએ ને તે પછી તેને યોગ્ય દિશામાં ઢાળવાની કલા તેનામાં હોવી જોઈએ. આવો ગુરુ શિષ્યથી કેટલો મહાન હોઈ શકે એ પણ સમજી શકાય તેમ છે.

    ગુરૂની ઊંચાઈની કલ્પના, કેટલાંક વ્યક્તિત્વોને જોતાંવેત કરી શકાતી હોય છે. પૂર્વ તેમ જ પશ્ચિમના દેશોએ કેટલાક વિરલ માનવગુરુઓ આપ્યા છે. આ વ્યક્તિઓ વિવિધ ક્ષેત્રની છે. સોક્રેટીસ, પ્લેટો, એરિસ્ટોટલની ગુરુ-શિષ્ય ત્રિપુટીએ ચિંતન અને સાહિત્યના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કર્યું; રામકૃષ્ણ-વિવેકાનંદે જગત માટે નવીન પ્રકારનો ધર્મપ્રકાશ રેલાવ્યો; ગાંધીજી-વિનોબાએ રાજનીતિનું આધુનિક અર્થચટન કર્યું. આ પ્રકારની વ્યક્તિઓએ માનવસમાજના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો.

    કેળવણી જેવા દુષ્કર ક્ષેત્રની અપાર નિષ્ઠાથી ખેતી કરનારું એક અભૂતપૂર્વ મહિલા વ્યક્તિત્વ આ સંદર્ભમાં સમગ્ર માનવજાત માટે દર્શનીય બની રહે છે. એ વ્યક્તિ છે કૂ. મેન્સ્ફિડ સુલીવાન, જેમણે ત્રણ ત્રણ ઇન્દ્રિયોથી વંચિત એવી એક શિષ્યા હેલન કેલરને કેળવવાનો પડકાર હાથમાં લઈને દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. કુ. સલીવાને કુદરતના પંજામાં ફસાયેલી હેલનને જે રીતે ઉઠાવી ને એ પછી દુનિયાના અંધજનો માટે જે કાર્ય તેમણે કર્યું તેણે તેમને અન્‍ય ક્ષેત્રોના મહામાનવોમાં અગ્રગણ્ય સ્થાન આપ્યું.

    જન્મ પછી માત્ર ૧૯ માસ બાદ ભયંકર માંદગીનો ભોગ બનેલા હેલન કેલર ત્રણ ઇન્દ્રિયો ગુમાવી બેઠાં.  એક સાથે આંખ, કાન ને જીભ આ ત્રણેય ઈન્દ્રિયોથી વંચિત એવી બાળા હેલનને લોકોએ મૂર્ખ, મંદબુદ્ધિ ઠેરવી. દુનિયા સાથેનો તેમનો સંબંધ જ કપાઈ ગયો. વાસ્તવમાં જેને દુનિયા જ ન કહેવાય તેવી દુનિયામાં તેઓ રહેવાં લાગ્યાં. સંજોગોના આ પ્રકારના આક્રમણે હેલનના વ્યક્તિત્વને “ફેન્ટમ” જેવું બનાવી દીધું. વાતવાતમાં ગુસ્સે થવું, આજુબાજુના લોકોનો તિરસ્કાર કરવો, જીવનને ધિક્કારવું એ હેલનના જીવનની નિયતિ બની રહી. હેલનની આ સ્થિતિથી હતાશ થયેલાં માતા-પિતાને પુત્રીનું ભાવિ અંધકારમય ભાસી રહ્યું હતું ત્યારે હેલનની માતાના હાથમાં ચાર્લ્સ ડિકન્સના ઉત્તર અમેરિકાના પ્રવાસ વર્ણનનું ૧૮૪૨માં પ્રકાશિત થયેલ ‘અમેરિકન નોટ્સ’[1] વાંચવામાં આવ્યું. એ પુસ્તકમાંથી તેમને બોસ્ટનની પર્ડિન્સ સંસ્થા વિશે જાણવા મળ્યું. આ સંસ્થાએ લોરા બ્રિજમેન નામની હેલન જેવી જ એક અંધ બાળાને વાંચતાં-લખતાં શીખવેલું. પરંતુ આ બનાવને તો પચાસ વર્ષ વીતી ગયાં હતાં. આ જાણીને નિરાશ હૃદયે હેલનનાં માતા-પિતા તેને બાલ્ટીમોર લઈ ગયાં. બાલ્ટીમોરમાં તેમને ટેલિફોનના શોધક ડૉ. એલેફઝાન્ડર ગ્રેહામ બેલને મળવાનું સૂચન કરવામાં આવ્યું. ડૉ. બેલને મળ્યા પછી પર્કિન્સની સંસ્થા સાથે હેલનના પિતાનો પત્રવ્યવહાર થયો. આ સંસ્થાના સંચાલક ડૉ. માઇક એનેગ્રોસે હેલનના પિતાની માગણીથી પોતાની એક સ્નાતિકાને હેલનની શિક્ષિકા તરીકે મોકલી આપી. આ સ્નાતિકા તે જ કુ. સુલીવાન, જેઓ ત્યારે માત્ર એકવીસ વર્ષની ઉંમરનાં હતાં.

    પર્કિન્સ સંસ્થામાંથી આવી રહેલી આ યુવતીનું અંગત જીવન અત્યંત કષ્ટસાધ્ય હતું. તેમની બાલ્યાવસ્થા ભારે દુઃખમાં ગુજરી હતી. ઉત્તર-પૂર્વ આયર્લેન્ડના મેસેચ્યુસેટ્સના ફીડિંગ હિલ્સમાં, ઈ.સ. ૧૮૬૬ની ચોથી એપ્રિલે તેમનો જન્મ. આ સમયે આયર્લેન્ડના વતનીઓ સૌથી વધુ તિરસ્કૃત ગણાતા. અસાધારણ ગરીબીમાં જન્મેલાં સુલીવાનને પણ નાનપણથી જ આંખની તકલીફ હતી. આઠ વર્ષની ઉમરે તેમણે માતા ગુમાવી. એક વર્ષ પછી પિતા, એન તેમજ એ પછીનાં બે બાળકોને મૂકીને ક્યાક ચાલ્યા ગયા. નાની બહેન મેરીને સગાં-વઠાલાંઃ પોતા પાસે સખી પછી એન તથા નાના ભાઈ જીમીન રાજ્ય તરકથી ચાલતા ટક્સબરીના ભિક્ષાગૃહમાં મોકલી અપાયાં. બેનને આંખની તકલીક હતી ને ભાઇને પગની, બંને જાઈ-બહેનનો ઉછેર રખડતી હાલતમાં થયો.

    ઇ. સ. ૧૮૭૬ના ફેબ્રુઆારીમાં દસ વર્ષની એને ભિક્ષાગૃહમાં પ્રવેશ કર્યો ને મે માસમાં ભાઈનું મોત થયુ. આ આવાત જીવનભર તેમને પીડતો રહ્યો એવો ઉલ્લેખ હેલન કેલરે કર્યો છે. ભિક્ષાગૃહમાં તેમનો કોઈ મિત્ર નહોતો. કોઈએ તેમના જીવનમાં રસ લીધો નહોતો.  એવી સ્થિતિમાં તેઓ ચાર વર્ષ રહ્યાં. એ દરમિયાન અંધજનો માટેની શાળાઓ વ્રિશેની માઢિતી તેમને સાંપડી જેથી શિક્ષણ પ્રાપ્ત કરવાની તેમની સ્પૃહા તીત્ર બની. સુલીવાનનાં સદ્‍ભાગ્યે અચાનક ભિક્ષાગૃહનાં દૂષિત વાતારરણની તપાસણી થઈ. તપાસ સમિતિના સભ્યો ગૃહમાં આવ્યા ત્યારે એને સમિતિના પ્રમુખ સમક્ષ પોતાને ભણાવવા માટે વિનંતી કરી.

    ૧૮૮૦ના આંક્ટોબરમાં, ૧૪ વર્ષની વયે એનને પર્કિન્સ ઇન્સ્ટિટયૂટમાં દાખલ કયાં. અહીં આંગળીઓના વાચન દ્રારા તેમનું શિક્ષણ શરૂ થયું. વેકેશન દરમિયાન સંસ્થામાં રહેવાની કોઇ વ્યવસ્થા ન હોવાથી તેઓ બોસ્ટનની એક લોજમાં રહ્યાં. કોઈ અજ્ઞાત સહૃદયીની સહાયથી તેઓ મેસેચ્યુસેટ્સની આંખ-કાનની ઇસ્પિતાલમાં પહોંચ્યાં.  ડૉ. બ્રેબ્રેફોર્ડે તેમની ડાબી આંખ પર ને થોડા સમય પછી જમણી આંખ પર શસ્ત્રક્રિયા કરી જંના પરિલામે તેઓ થોડો સમય વાંચવા માટે સક્ષમ બન્યાં. પર્કિન્સ ઇન્ક્ટિટ્ટુટમાં છ વર્ષ ગાળ્યા બાદ ૧૮૮૬માં તેઓ સ્નાતક થયાં.

    સ્નાતકની પદવી મળતાંવેત તેમની સમક્ષ હેલનને શિક્ષણ આપવાનું અટપટું કામ આવી પદ્ટું. એકવીસ વર્ષની યુવતી માટે આ કાર્ય અસિધારાવ્રત સમાન હતું. ઝા અગાઉ લોરા બ્રિજમેન માટે થયેલા કાર્યને પચાસ વર્ષ વીતી ગયાં હતાં. અન્ય શિક્ષિકાઓએ આ પ્રકારનાં બાળકો માટે કામ કર્યું હતું પશ કોઈને જોઈએ તેવી ગ્રકળતા મળી નહાતી. તેમાં પશ સુલીવાનની સ્થિતિ વધારે મુશ્કેલ એટલા માટે હતી કે તેમની પાસે સાઘનો નહોતાં, માનસિક સજ્જતા નહોતી. તેમણે આ પ્રકારનાં કાર્યને બદલે પોતા માટે કોઈક રોમાંચક કાર્ય ઇચ્છ્યું હતુ.  ને તેમ છતાં આ નોકરી સ્વીકાર્યા વિના તેમનો છૂટકો નહોતો. નોકરી માટે આવેલી ઓફરોમાંથી તેમને માટે આ ઓફર સૌથી વધુ ફાયદાકારક હતી. આથી આ કાર્ય તેમણે પ્રેમપૂર્વક સ્વીકાર્યું.

    હેલન પાસે જતાં પઢેલાં ડૉ. હોએ લોરા માટે કરેલા કાર્યનો રિપોર્ટ વાંચવામાં તેમણે ધવા મહિના ગાળ્યા. જે ઘટના એક વ્યક્તિ માટે જીવનની સૌથી મોટી પરીક્ષા હતી તે જ ઘટના બીજી વ્યક્તિ માટે ઈશ્વરના આશીર્વાદનો સંકેત બની રહી. ઈ.સ. ૧૮૮૭ની ત્રીજી માર્ચ હેલનના જીવનમાં પ્રેમ અને પ્રકાશની ઉષા બનીને ઊગી. ત્રીજી માર્ચને હેલને પોતાના આત્માના જન્મદિન તરીકે ઊજવ્યો કેમકે આ દિવસે સુલીવાને તેના જીવનમાં કાયમને માટે નિવાસ કરવા પ્રવેશ કર્યો. તે દિવસની નોંધમાં હેલન જણાવે છે : ‘હું મારા અંધકાર ઇજિપ્તમાંથી નીકળીને પ્રકાશના સિનાઈ પર્વત*[2] આગળ આવીને ઊભી. ત્યાં કોઈ દિવ્ય શક્તિએ માર! આત્માને અડીને મને પ્રજ્ઞાચક્ષુ આપ્યાં, જે વડે મે ઘણા ચમત્કારો પછી જોયા… જે બે પ્રકારનાં જીવનને આ દિવસ સાંધે છે એની વચ્ચેના અસામાન્ય ભેદનો જ્યારે હું વિચાર કરું છું ત્યારે આશ્ચર્યચકિત થાઉ છું.’

    એ દિવસની સાંજે આકાંક્ષિત ચિત્તે ખડકોમાં ઊભેલી હેલનને તેની ક્ષણો પછી થનારી આશીર્વાદની વર્ષાની જાણ નહોતો. છેલ્લા અઠવાડિયાથી એ ક્રોધ અને કટુતાના આક્રમણમાં ફસાઈ હતી. આવી ક્ષણોની વચ્ચે તેણે કોઈકનો પગરવ સાંભળ્યો. માતાને આવતી ધારીને હેલને પોતાનો હાથ પસાર્યો. કોઈકે તેને ઝાલીને ઊંચકી લીધી. જેઓ વસ્તુમાત્રનો અંધકાર દૂર કરવા આવ્યાં હતાં, બલકે વધુ તો જેઓ હેલન પર પ્રેમ કરવા આવ્યાં હતાં એમણે હેલનને પોતાની બાથમાં લીધો. તેમનું આ પ્રથમ આલિંગન ગુરુ-શિષ્યાના પછીથી રચનારા અદ્વૈતનો સંકેત્ત બની રહ્યું.

    હેલન કેલર અને એન સુલીવાન

    એન પોતાના આગમનના બરાબર એક માસ પછી હેલનના આત્માને સ્પર્શી શક્યાં. હેલને લખેલી ‘ટીચર્સ બુક ‘ની પ્રસ્તાવનામાં શ્રી નીલા જ્વેડી, પહેલી માર્ચ પછી આવેલી પાંચમી એપ્રિલને પણ એટલી જ અગત્યની ગણાવે છે કેમ કે તે દિવસે હેલન પહેલી વાર ‘જીવન’ નામના તત્ત્વનો પરિચય પામી ને તેની સાધે હાથ મેળવતાં શીખ્યાં. જલાગાર પર હેલનને ફરવા લઈ ગયેલા સુલીવાને પમ્પમાં પાણીની નીચે હેલનનો હાથ ધરીને પાણીના તેને થતા સ્પર્શની સાથોસાર હાથ પર “પાણી’ શબ્દની જોડણી લખી. એ જ ક્ષણે, અચાનક હેલનમાં સુપ્ત પડેલું ભાષાનું ગૂઢ જ્ઞાન જાગ્રત થયું. તેમના જીવનનું બિડાયેલું પૃષ્ઠ ખૂલી ગયું. હેલનને પહેલી વાર ખબર પડી કે પાણીનો અર્થ તેમના હાય પર લડી રહેલો ચમત્કારી પદાર્થ છે. એ પદાર્થના જીવંત સ્પશે તેમના આત્માને જાગ્ર્ત કરીતેમાં પ્રકાશ, આશા અને આનંદ રેડ્યાં. એ દિવસે તેઓ ‘મારા’ પિતા’, ‘બહેન’ અને ‘શિક્ષક’ એ શબ્દો શીખ્યાં. એ રાત્રે તેમના આનંદને વાગોળતાં પહેલી વાર નવો દિવસ ક્યારે ઊગે તેની પ્રતિક્ષા કરી.

    સુલીવાને. હેલનન જીવનમાંથી જ કેળવણો મેળવવાનું શીખવ્યું. હેલનમાં સુષુપ્ત રૂપમાં પડેલી શક્તિઓને સમજીને સહજ રીતે તેઓ ખીલવતાં ગયાં. હેલનના જીવનમાં તેમનો પ્રવેશ થવાથી હેલનની આસપાસ ચીજો પ્રેન મે અર્થતી સભર બની. વસ્તુમાત્રની સુદરતા હેલનને બતાવવાનો એક પણ પ્રયત્ન એને જતો ન કર્યો. હેલનના જીવનને મધુર ને ઉપયોગી બનાવવા તેમણે થઈ શકે એવું બધું જ પોતાના આચરણ ને વિચારશક્તિ દ્રારા કર્યું.

    કુ. સુલીવાને હેલનના જીવનમાં પ્રવેશ કર્યો ત્યારે તે આવાં હિમ્મતભર્યા કામને માટે ઘણી નાની હતી; તેમનું વ્યક્તિત્વ સામાન્ય હતું. ભણતર પણ કંઈ વિશેષ ન હતું. ઉપરાંત, તેમની કેટલીક શારીરિક મર્યાદાઓ તો હતી જ. આવાં વિરોધી પરિબળો વચ્ચે એવું કયું તત્વ હતું જે તમને મહાન વ્યક્તિત્વની ભેટ આપી શક્યું એવો પ્રશન સહેજે થાય. આ પ્રશ્નનો ઉત્તર એમની જીવન જોવાની મૌલિક દૃષ્ટિમાં મળે છે.

    બાળપણથી જ સુલીવાનને ફાળે કુદરત સામે ચુદ્ધ કરવાનું આવ્યું હતું. આર્થિક, માનસિક, શારીરિક વિશમતાઓ વચાળે ઘેરાયેલા રહેવાથી તેમની વિચારરણીમાં નાસ્તિકતા પ્રવેશી ગઈ હતી. કુદરત પ્રત્યે તેમનામાં અનાસ્થા વિકસી હતી. આ પ્રકારની અનાસ્થા કેળવવાનો જોકે તેમને હક્ક હતો, પણ નાસ્તિક વિચારસ્રસોએ તેમને નિરાશ ન બનાવ્યાં. ઊલટું. પરિસ્થિતિઓની સામે લડતાં-લડતાં તઓ ગરિમામય જીવન જીસ્‍તાં શીખ્યાં. કહેવાતી ઘાર્મિક શ્રદ્ધા તેમને નહોતી ધર્મ વિશેની સમજ અને તેનું વ્યવહારમાં આચરણ, સુલીવાનની હેલનના ઉછેરે પછીનો બીજી મોટી સિદ્ધિ છે. કહેવી હોય તો તેને પ્રથમ કમની સિદ્ધિ પણ કહી શકાય.

    સુલીવાનના વ્યક્તિત્વમાં રહેલી ખુમારીને કારહે તેઓ સૌન્દર્ય અને સૌષ્ઠવથી રહિત એવું કંઈ જ સહી શકતાં નહિ. વિચાર વિનાની વાતોના ગપાટા કે કામ ખાતર જ કામ કરવાની વૃત્તિ પર તેમને ચીડ હતી. શિક્ષણની બધો જ અનુકુળતાઓ છતાં પણ વ્યક્તિઓમાં અભદ્રતા ને અશિપ્ટતા રહેતાં તેને તેઓ કદી માફ કરી શકતાં નહીં.

    પોતાની મહાત્વાકાંક્ષાને સર કરવા તેઓ સદા આગ્રહી રહેતાં. જીવનમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવાના એક લાંબો ગાળો આવેલો ત્યારે પણ સ્વસ્થતા ને ગોરવથી એ સંજોગો સામે ટકવાની તેમની ક્ષમતા તેઓ સિદ્ધ કરી શક્યાં. હેલનના ધિતાએ સાત વર્ષ સુધી તેમને કમું જ આપ્યુ નહોતુ છતા પણ હેલન સમક્ષ આ અંગે ઉચ્ચાર સુધાં કર્યો નહોતો.  તેમનું વ્યક્તિત્વ એક ક્ષત્રિય વીરનું હતું. ઘમંડ લાગે એટલી હદે તેમનું સ્વાભિમાન પ્રગટ થતું. તંમને મતે, ગર્વોન્મત મસ્તકે પણ એવા દિવસોનું સ્વાગત કરીને  મહત્વાકાંક્ષાને મેઘધનુષની અંતિમ પણછ સુધી ખેંચી જવી જેઈએ. તેમનો આ અભિપ્રાય આંતરિક અભિજ્ઞતામાંથી આવતો હતો. પોતાના અસ્તિત્વને તેમણે કદી દેવાધીન કે કોઈ સંતને અધીન માન્યું નહોતું. તેમના વિચારોમાં નૂતનતા ને સ્વતંત્રતાનો સમન્વય હતો. સાથોસાથ અન્યની સ્વતંત્રતાને જાળવવાની અપાર ઉદારતા પણ હતી. ઊછરતી વયની હેલનન પણ તેમણે હંમેશાં સ્વતંત્રતા જ શીષવી. એક અધ્યાત્મગુરુની હેસિયતથી તેમણે હેલનને જીવનની ભૂલભુલામણીમાં કદી અટવાઈ ન જવાનું સમજાવ્યું તેમ જ સાચી સ્વતંત્રતા મનુષ્યના મનમાં જ રહેલી હોવાનું શીખવ્યું.

    હેલનને પોતાનાં ગરુ ઉપર અપાર આદર હોવાનું એક મુખ્ય કારણ જ એ હતું કે સુલીવાને હેલનનો એક સ્વસ્થ વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો. હેલનની આજુબાજુના જોકે તેને અન્યના જેવું સર્વસાધારણ બાળક માને એવો સુલીવાનનો પ્રયત્ન રહ્યો. વ્યક્તિગત રીતે પણ તેમણે હેલન તરફના વર્તાવમાં ભારે સહજતા પ્રગટ કરી. હેલન તરફ તેમણે કદી દયા બતાવી નથી કે બતાવવા દીધી નથી. કોઈ કામ હેલન સારી રીતે પાર પાડે તો તેઓ અવશ્ય પ્રશંસા કરતાં પણ હેલનની અનુચિત પ્રશંસા તેમણે ક્યારેય કરો નથી. ગુલાબ ચૂંટતી હેલનને વાગતા કાંટા જેમ દરેકને વાગે એ રીતે જ વાગે છે એવું તેમણે હેલનને અને સૌને સમજાવ્યું. તેમનો પ્રયત્ન એટલો જ હેલન પોતાની સીમાઓને ઉચ્છેદીને આચ્છાદિત થયેલા સૌંદર્યને જોઈ શકે. સુલીવાનના પ્રયત્નોને લઈને જ હેલનના વાચકો સામાન્‍ય મનોવિજ્ઞાનને સમજી શક્યા એને અંધો તથા બધિરો પ્રત્યે પ્રગતિશીલ વલણ અપનાવી શક્યા એવું હેલનનું માનવું છે.

    એક કેળવણીકારમાં હોવો જોઈતો જીવન પ્રત્યેનો વિધાયક દૃષ્ટિકોણ ધૈર્ય, વિદ્યાર્થી પ્રત્યે નિસ્વાર્થ મમતા, આગવી સૂઝ, વિષય પ્રત્યેની અભિરુચિ – જેવાં અનેક પાસાંઓ સુલીવાનના વ્યક્તિત્વમાં રહેલાં છે. હેલનના પ્રારંભિક શિક્ષણ સમયે તેમણે વહાલનો આશ્રય લીધેલો. જે દિવસે સવારે ‘પ્રેમ’ શબ્દનો અર્થ જાણગાનું હેલને પહેલી વાર ઈચ્છ્યું  સુલીવાનનો પ્રતિભાવ હેલનના જ શબ્દો જોવા જેવો છે : કુ. સુધીવાન મૃદુ ભાવે મને પોતાની પાસે લીધી અને મારા હાથમાં લખ્યું ‘હું તને પ્રેમ કરૂં છું.’ મેં પૂછ્યું ‘પ્રેમ એટલે શું?’  તેમણે મને પોતાની વધારે નજીક લીધી અને મારા હૃદય તરફ નિશાની કરીને કહ્યું : “તે અહીં છે.’ હૃદયના  ધબકારાની મને પહેલી જ વાર ખબર પડી. એમના ઉત્તરથી હું ખૂબ મૂંઝાઈ. કેમકે કોઈ વસ્તુને હું સ્પર્શું નહીં તયા સુધી, તે વખતે મને તેની સમજ ન પડતી. તે દિવસે ને તે, પછી દરેક બાબતને હેલન ‘આ પ્રેમ છે ?’ એમ પૂછ્યા કરતી. તેના ઉત્તરમાં એક વારે તેમણે જણાવ્યું : “તું જાણે છે કે વાદળને તારાથી અડકી ન શકાય, પણ વરસાદને તું અનુભવે છે. દિવસના તાપને અંતે તરસી ધરતી તથા ફૂલોને વરસાદ મળે તો તે કેવાં ખુશ થાય છે એ તને ખબર છે. તેમ જ તું પ્રેમને અડકી ન શકે પણ દરેક વસ્તુમાં તે મધુરતા રહે છે એવું અનુભવે છે. પ્રેમ ન હોય તો તું સુખી ન થાય અથવા રમવાની ઇચ્છા ન કરે.’ આવી હતી તેમની શિક્ષણ આપવાની કળા.

    સુલીવાને તદન મૌલિક અભિગમથી હેલનને કેળવણી આપી. ડૉ. હોએ લોરા બ્રિજમેનને કેળવણી આપેલી તેનો રિપોર્ટ સુલીવાને વાંચેલો. પણ, એ પછી જે પદ્ધતિ તેમણે અપનાવી તે એમની પોતાની હતી, આત્મસૂઝ ને સ્વાનુભવ દ્વારા પ્રગટેલી હતી. હેલનની બધી ઇન્દ્રિયો કાર્યરત જ હોય એમ માનીને તેમણે હેલનને કેળવી. સાંભળતા બાળકની સાથે વાત કરતાં હોય તે રીતે જ તેઓ હેલનની સાથે વાત કરતાં. ફરક એટલો જ હતો કે હેલનના હાથમાં તેમણે લખી આપવાનું રહેતું. વિચાર પ્રગટ કરવા માટે હેલનને શબ્દ ન સૂઝે તો તેઓ શબ્દ પણ સૂચવતાં. ભણવાનું કામ હેલનને રમત જેવું લાગે એવો તેમનો પ્રયત્ન રહેતો. હેલનને રસ પડે તેવાં કાવ્યો કે વાર્તાઓ દ્વારા તેમનું શિક્ષણ ચાલતું. આથી જ તો વ્યાકરણ કે હિસાબ જેવા, બીજાં બાળકોને દુષ્કર જણાતા મુદ્દાઓ હેલનને કદી કંટાળાજનક લાગ્યા નહોતા.

    હેલનને જ્ઞાનં આપવાના સમયમાં પણ તેઓ ચોક્કસ પ્રકારની ગણતરીથી ચાલતાં. હેલન નોંધે છે : “આ વસ્તુ તેમને પ્રત્યક્ષ હતી કે બાળકનું માનસ એક અગાઘ વહેળિયા જેવું છે. કેળવણીના પથ્ઘરિયા પ્રદેશ પર નાચતું ખેલતું એ ખળખળ વહે છે. એક જગાએ તેમાં ફૂલ તો બીજી જગ્યાએ છોડ ને દૂર વળી ઊનના ઢગ જેવું વાદળ એમાં પ્રતિબિંબિત થાય છે. આવી જાતના એના પ્રવાહને દોરવાનું કામ તેમણે કર્યુ, એ સમજ રાખીને કે વહેળિયાની જેમ તેને પર્વતમાંથી જ ગુપ્ત રીતે પોષણ મળવું જોઈએ. જેથી છેવટે તે પરિપુષ્ટ થઈને એક અગાધ નદી બને.”

    હૈલનના જીવત્તમાં સુલીવાને અમૃત તત્ત્વનો સંચાર કર્યો ને તેમ છતાં હેલનની વિચારસરણી પર પોતાના વિચારોનો ઓછાયો સુધ્ધાં ન પડે તેની કોમળતાથી માવજત કરી. અનેક બાબતો એવી હતી જેમાં સુલીવાનની વિચારધારા હેલન કરતાં એકદમ જુદી પડતી હતી. વિચારની આ ભિન્નતાને તેઓ આનંદથી સ્વીકારતાં. પોતા પ્રત્યેના આદરને કારણે પણ હેલન પોતાના વિચારોથી સંમત થાય એ તેમને પસંદ ન હતું. હેલનને ધર્મ પ્રતયે ખૂબ શ્રદ્ધા હતી અને માનવીની અમરતામાં વિશ્વાસ હતો. જ્યારે સુલીવાનને :ધર્મ પ્રત્યે બિલકુલ શ્રદ્ધા નહોતી તેમ જ નહોતો માનવીની અમરતામાં વિશ્વાસ. તેમ છતાં હેલનની શ્રદ્ધાનો તેઓ આદર કરતાં હતાં કારણ કે હેલનની શ્રદ્ધા આપત્તિમાંથી બચવાની પ્રાર્થનારૂપે નહોતી પણ પ્રભુને દિવ્યાનંદનો અશ માનવાને કરણે હતી ને તેથી સાચી હતી. સુલીવાનના વિચારોમાં રહેવી આ પ્રકારની સૂક્ષ્મ સમજ એક્સાથે તેમના બૌદ્ધિક માનદંડને તેમ જ શિષ્યાના વ્યક્તિત્વને સમજવાની શક્તિને ચીધે છે. તેમણે હેલન પાસે માત્ર આટલું જ ઇચ્છ્યું કે હેલન સંપ્રદાયો અને વાડાઓથી મુક્ત રહે ને જેની સાથે વિચારોનું સામ્ય ન હોય તેના પ્રત્યે પણ ન્યાયી અને ઉદાર બને. બુદ્ધિપૂર્વક વિચારવાની ધૂનમાં કોઇના હૃદયને ભુલેચુકે પણ ઈજા ન પહોંચાડવી એનું જ નામ ધર્મ એવું તેમનું માનવું હતું. જીવન પ્રત્યે સુલીવાને સ્વસ્થ અભિગમ દાખવ્યો. નાસ્તિકતાએ તેમને વૈચારિક ક્લેશનાં ભોગ ન બનાવ્યાં. જીવન પ્રત્યેનો આચારનિષ્ઠ વિવેક તેમણે માર્દવપૂર્વક જાળવી જાણ્યો. આ અર્થમાં તેમને આસ્તિક કહી શકાય.

    માનવીની દુષ્ટતા પ્રત્યેનું તેમનું વલણ અત્યંત સમુદાર રહેતું. માનવીને જો પોતાની દુષ્ટતાની જાણ હોત તો તો એ દુષ્ટ થાત જ નીં એવું તેમનું માનવું હતું. મનુષ્યને તેઓ એક એવું રહસ્ય માનતાં જે કદી માનવી દ્રારા ન ઉકલાય તેવું હતું. આ આ પ્રકારનો વ્યર્થ માથાફટમાં ન પડવા તેઓ હેલનને સમજાવતાં. તેમનું જીવનદર્શન આ દૃષ્ટિએ રીતે એક ૠષિની કોટિનું જણાય છે.

    મનુષ્ય વિશે સુલીવાને એક મનોચિકિત્સકની હેસિયતથી વિચાર્યું છે. તેમને મતે મનુષ્ય કદી સર્વાંશે સારો કે ખરાબ હોઈ શકે નહીં. બીજાના કલ્યાણ માટે પૈસા બચાવતા માણસને કંજૂસ કહેવો કે આસપાસના વાતાવરણમાં રહેલાં સ્વાર્થ જેવાં તત્ત્વોને કારણે પુણ્યપ્રકોપ પ્રગટાવતા મનુષ્યને ક્રોધી કહેવો એ મનુષ્યનું, તેમને મન અધુરૂં મૂલ્યાંક્ન કહેવાય.. સુલીવાનમાં રહેલી મુક્ત વિચારસરણીએ તેમને માત્ર હેલનનાં શિક્ષક રહેવાને બદલે લોકશિક્ષક ઠેરવ્યાં. તેઓ લોકસમૃહને ચાહતાં મનુષ્ય હતાં. પ્રાકૃત જીવન જીવતા લોકોને જ્યાં સુધી સંસ્કૃત ન બનાવે ત્યાં સુધી તેમને ચેન ન પડતું. આમ કરવાથી તેઓ થાકી પણ જતાં ને છતાંયે તેમની શિક્ષકવૃત્તિ સારું કાર્ય તેમની પાસે કરાવીને જ જંપતી. હેલને નોંધ્યું છે તેમ, તેમની આ પ્રકૃતિને લઈને સુલીવાન અનેક લોકોનું પ્રેરણાસ્થાન બન્યાં. રેન્થમના તેઓના ઘરમાં અનેક લોકોના મેળાવડા થતા જેનો પ્રાણ સુલીવાન હતાં.

    સુલીવાનને મન ધર્મ કરતાં જીવન વધારે અગત્યની વસ્તુ હતી. “અહીં ને અત્યારે ‘ એ તેમનો જીવનમંત્ર હતો. કોઈ પણ કામ પૂર્ણ રૂપમાં કરવાનું તેઓ પસંદ કરતાં કેમ કે બીજાઓ પર તેની ગંભીર અસર પડે છે એવું તેમનું માનવું હતું. ગૌતાકારે જેને “લોકસંગ્રહ” કહ્યો તેના પર સુલીવાને વજન આપ્યું. આ માટે તેમને કોઈ ધર્મગ્રયો કે મહાપુરુષોનાં વચનોનો ટેકો લેવાનું જરૂરી લાગ્યું નહોતું. આથી જ તો બાઇબલને તેમણે એક સારા કાવ્યથી વિશેષ માન્યું નહોતું. તેમનું ક્રાન્તિવીર વ્યક્તિત્વ આવા અનેક વિચારો ને એ પ્રમાણેના આચારમાં ઝળકી ઊઠે છે.

    જે જે પરિસ્થિતિઓમાંથી સુલીવાનને પસાર થવાનું આવ્યું તેને લઈને તેમની વિચારસરણી ધડાતી રહી. ક્યારેક તેમના વિચારો સામસામા છેડાના પણ જણાતા. હેલને નોંધ્યું છે તેમ, તેમની પદ્ધતિ તરંગી પણ હતી. સુલીવાન પોતે પણ પોતાને સારી રીતે ઓળખતાં. પોતાના જીવન ને માનસનું તેમણે કડક આત્મપરીક્ષણ કર્યુ છે. તેમના વિચારોમાં દેખાતું તરેગીપણું એ કદાચ એક પ્રકારની પ્રવાહિતા હતી, જે તેમની અસ્થિરતા નહિ પણ વિકાસયાત્રાની સૂચક હતી. જીવનના પ્રારંભે વેઠેલાં  અસાધારણ દુ:ખોએ તેમને આળાં બનાવી દીધેલાં. તેમણે લખેલી ડાયરીમાં તેમના રાગાવેગો, દ્વેષભાવ છલકાતા જણાય. પાછળથી તેમણે એ ડાયરી બાળી નાખીને પોતાનો વિકાસ પ્રગટ કરેલો.

    સુલીવાનના એકલવાયા જીવનમાં જોન મેસીના પ્રવેશથી આનંદ છવાયો. જોન દ્વારા તેમને અપાર પ્રેમ મળ્યો. તેમનું વ્યક્તિત્વ સભર બન્યું. જોને હેલન ઉપર પણ પુષ્કળ વાત્સલ્ય વરસાવ્યું. આ વર્ષો સુલીવાન, જોન ને હેલનનો સુવર્ણકાળ બની રહ્યાં. પાછળથી પતિ-પત્ની વચ્ચે કોઈ પ્રકારનો અણબનાવ થયો હોય એવા સંકેતો તેમના ચરિત્રને ઉપસાવતાં નીલા બ્રેડીએ આપ્યા છે. જો કે કોઈ સ્પષ્ટ વિગતો મળતી નથી, પણ એની ઘેરી અસર સુલીવાન ઉપર પડી છે. આ પ્રકારના બનાવથી તેઓ જરૂર હલી ઊઠયાં છે પણ સાથોસાથ તેમણે માનસિક તાકાત કેળવી છે.

    આવી ક્ષણોમાં તેમણે હેલનનો સાથ માગ્યો છે જેથી તેઓ બંને અન્યોન્યનો બોજો ઉઠાવીને વાસ્તવ સાથે સુમેળ સાધે તેમ જ સંવેદનાનું કલ્યાણકર શક્તિમાં રૂપાંતર કરે જેથી પોતાની પરિસ્થિતિનું દુ:ખ અનુભવવાને બદલે આજુબાજુના વાતાવરણમાં ઉત્સાહ સરજી શકાય.

    એકલતાને કારણે ઊઠતા તોફાનથી સુલીવાન પરિચિત છે. એકાકી મનુષ્ય ક્રૂર થઈ જાય છે એમ માનતાં સુલીવાને તેના ઉપાય તરીકે સજ્જન બનવા સૂચવ્યું છે. સજ્જનતા તેમને મન સુંદર પુષ્પ કે પાકેલાં ફળ જેવી હોય છે. તેનો વિકાસ ધીમો હોય છે પણ તેના દ્વારા અંગત અણગમાની ભાવના દૂર થાય છે. આંતરિક રીતે ગુપ્ત રહેલાં મૂલ્યો સજ્જનતા વડે અભિવ્યક્ત થાય છે. એકલતાને આ રીતે નાથવી જ જોઈએ એવું તેમનું સ્પષ્ટ માનવું છે કેમ કે અત્યંત મેધાવી મનુષ્ય પાસે પણ જો કવિ જેવું દર્શન ન હોય તો તેનું જીવન નીરસ બને છે; ને નીરસ બનવું એનું પરિણામ છે આસપાસની વ્યવસ્થાને પણ નીરસ બનાવવી – જેના જેવું પાપ બીજું એક પણ નથી.

    દયાની ભાવના પ્રત્યે સુલીવાનને તિરસ્કાર હતો. અપંગ કે નિર્બળ માનસવાળાને મળતું શિક્ષણ એ સમાજ તરફથી મળેલું દાન છે અં વાત તેમને બિલકૃલ મંજૂર નહોતી. મનુષ્યમાં, ખાસ કરીને અપંગ મનુપ્યમાં સ્વતંત્રતા કેળવવા તેઆ ઝઝૂમ્યાં. હેલનને પણ તેમણે એ જ રીતે કેળવણી આપી. હેલનનું માથું ક્યારેક અફળાતું કે બીજી કોઈ તકલીહ થતી તો તેઓ કદી ચિંતા ન કરતાં, આવી ક્ષણોમાં વ્યક્તિએ જાતે જ કદરત સામે લડીને તેને મહાત કરવાની જરૂ૨ છે અંવું તેમનું સ્પષ્ટ મંતવ્ય હતું.

    ઇ સ. ૧૯3૧માં સુલીવાનને ન્યૂટનના પ્રયત્નો અને અનુરોઘથી ટેમ્પલ યુનિવર્સિટી દ્વારા ‘ડૉકટર ઓફ ધ્યુમન લેટર્સ ની પદવી એનાયત થઈ. આ પછી ‘ફેલોઝ ઑફ ધી એજયુકેશન ઈન્સટીટ્યુટ ઓફ સ્કૉટલેન્ડ’નું સન્‍માન પણ તેમને મળ્યું. આ સંદર્ભ પ્રત્યુત્તર આપતાં તેમણે યશનો કળશ વિદ્યાર્થીઆલમ પર ઢોળીને નિર્વિકારભાવે જણાળ્યું : “જે શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓને પોતાનું સર્વસ્વ આપ્યું છે તેમના કરતાં હું વધારે પ્રશંસાને પાત્ર છું એમ કદી મેં વિચાર સરખોય કર્યો નથી. આવા શિક્ષકોના સન્નિષ્ઠ પ્રયાસો છતાં વિદ્યાર્થીઓની સુપુપ્ત પ્રતિભા જાગ્રત કરવામાં જો તેઓ નિષ્ફળ ગયા હોય તો એમ જ માનવું રહ્યું કે એ વિદ્યાર્થીઓમાં પ્રતિભા જ નહોતી.’

    મનુષ્યની શક્તિમાં સુલીવાનને અપાર વિશ્વાસ હતો. દરેક મનુષ્યમાં કંઈક ને કઈક શક્તિ રહેલી જ હોય છે. માત્ર તેને જાગ્રત કરવાની જરૂર હોય છે એવું તેઓ માનતાં. જેમ ગરુડ પોતાના શિકાર પર તૂટી પડીને તેને ઊંચે પવનની પીઠ પર લઈ જાય છે તેમ તેમને પૂર્ણ શ્રદ્ધા હતી કે તેઓ હેલનના જીવનસાફલ્યને ઊર્ધ્વ બનાવી શકશે. આ શ્રદ્ધા તેઓ સાબિત કરીને જ રહ્યાં.

    સુલીવાનના વિચારોમાં રહેલી ગરિમા ઉપરછલ્લી નહોતી. અંધજનો માટે સતત કાર્યરત રહેતી આ મહિલાએ અહમ્‌, અંધો પ્રત્યેની ખોટી સત્તા કે કાર્યશક્તિને મંદ કરી નાખે તેવી દાનવૃત્તિ કદી પસંદ કરી નહિ. તેઓ આદર્શ વ્યવહાર રહ્યાં. હેલને શિક્ષિકામાં રહેલા આ ગુણવિશેષ વિશે સાદર જણાવ્યું છે : ‘શિક્ષિકાને સુખી થવા માટે મહાન આદર્શ સાથેનો આજીવન પરિણય જરૂરી હતો. પુણ્યકર આત્માને સર્જવા માટે નિષ્કલંક સર્જનશીલતાની આવશ્યકતા હતી જે તેમનામાં સાંગોપાંગ બિરાજેલો ગુણવિશેષ હતો.”

    સુલીવાન આજીવન શિક્ષકધર્મ પાળતાં રહ્યાં. માંદગીના બિછાને પડેલાં હોગા છતાં જપાન દેશના અંધત્વ વિમોચન આંદોલનના નેતા ટાકેઓ ઈવાકાશી તેમને મળવા આવ્યા ત્યારે તબિયતની નાદુરસ્તીને કારણે તેઓ જાપાન તો જઈ ન શક્યાં પણ પોતાના મૃત્યુ પછી હેલનને આ કાર્ય ઉપાડી લેવાનું જણાવ્યું. જીવનભર તેમણે અંધ ને મૂક લોકો માટે જાત રેડીને કામ કર્યું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી “અમેરિકન ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ’ની સ્થાપના થઈ જેમને શિક્ષિકાએ “મહાન બનાવ’ ગણાવીને આવકારી. આ સંસ્થાને કારણે અપંગો પોતાને પ્રભુનાં બાળકો તરીકે ગૌરવભેર જોઈ શકશે તેનો તેમને અપાર આનંદ હતો. શિક્ષિકાનાં કાર્યમાં હેલન યુગોના પરિશ્રમ અને ચિંતન રહેલાં જુએ છે. તેમ જ તેમને નૂતન સંસ્કૃતિના પ્રણેતા ગણાવીને પોતાને તેમનાં શિષ્ય તરીકે ફતાર્થ થયેલાં માને છે.

    પોતાના જીવનકાર્યને ઈશ્વર જેટલો પ્રેમ કરતી આ સ્ત્રી હેલન માટે કરીને મૃત્યુને ઠેલવા ઇચ્છે છે. હેલન પ્રત્યેનું તેમનું માતૃત્વસભર વલણ તેમનામાં આવી અપેક્ષા જગવે છે. બીજી બાજુ, હેલનને પોતાના માળામાં બેસાડવા તેમણે કદી ઇચ્છ્યું નથી. તેમના મૃત્યુના થોડા સપ્તાહ પહેલાં કોઈકે તેમને ઝડપથી સાજા થઈ જવાની શુભેચ્છા આપતાં જણાવ્યું કે તમારા વિના હેલન શૂન્ય બની જશે. તે વ્યક્તિને ઉત્તર આપતાં સુલીવાને જણાવ્યું : “તેનો અર્થ એટલો જ કે મારા કાર્યમાં હું નિષ્ફળ નીવડી છું.’ પણ સુલીવાનને ખાતરી હતી કે તેઓ નિષ્ફળ નીવડ્યાં નહોતાં. હેલનમાં તેમણે સીંચેલો સ્વતંત્રતાનો ખ્યાલ, તેમની ઉપસ્થિતિ દરમિયાન જ હેલનમાં ઊગી નીકળેલો ને તેમની ગેરહાજરીમાં પણ હેલને શૂન્ય ન બનતાં ગુરુની ઇચ્છાઓની પૂર્તિ કરેલી.

    જીવનભર પોતાનું સઘળું હેલન માટે અર્પણ કરી રહેલી આ મહાન નારીએ ૧૯૩૬ના ઓક્ટોબરની ૨૦મી તારીખે પોતાનું ધબકતું ચૈતન્ય, જે ઈસુને એ માનતી નહોતી તેમને ચરણે ધરી દીધું ! તેમના મૃત્યુને પચાવવું હેલન માટે આકરી પરીક્ષા સમાન હતું. શિક્ષિકાનાં મૃત્યુએ હેલનનાં જીવનને અસ્તવ્યસ્ત કરી મૂક્યું. શિક્ષિકા વિનાની પોતાની સ્થિતિને હેલને ગ્રીક દંતકથાના મીલીગર સાથે સરખાવતાં નોંધ્યું છે તેમ, મીલીંગરનું જીવન તેની માતાએ જલતી રાખેલી જ્યોતને આધારે ટકી રહેલું. એ જયોત બુઝાઈ જવાથી હેલન પણ મીલીગરની જેમ અશક્ત બની ગઈ. એને લાગ્યુ કે શિક્ષિકાની સદ્ય પ્રજ્વલિત આંતરજ્યોતિમાં તેણે જે પ્રકાશ, સંગીત તથા જીવનની ભવ્યતા ભાળ્યાં હતાં એ જાણે નષ્ટ થઈ ગયાં.

    ગુરૂના મૃત્યુએ આપેલી ઘોર નિરાશાની વચ્ચે સમતા ટકાવવાનું બળ પણ ગુરુએ આપેલી વિચારશક્તિએ જ બક્ષ્યું એનો એકરાર કરતાં હેલન નોંધે છે : “મારાં શિક્ષિકાને હું સદાકાળ મને ઉષ્મા ને પ્રકાશ આપનાર, મારાં પ્રભાકર માનું છું. ગુરૂના અસ્તિતવમાં રહેલા સદ્‍ગુણો તથા એમની અંતર્નિહિત શક્તિઓમાં પ્રસારની એવી તો અદભુત ક્ષમતા હતી કે એમનાં મૃત્યુ પછી તેમની આ જ શક્તિએ સતત ખંત અને સહનશીલતા પ્રાપ્ત કરવા માટે મારા હૃદયમાં પ્રેરણા સીચ્યા કરી છે… મમત્વ અને નિજત્વની સંકીર્ણતાને ભૂમિસાત્‌ કરીને, અંધત્વ સામે પ્રભુએ નિર્મેલા જંગ માટે તેમણે મને તૈવાર કરી તેમને મારામાં અનંત શદ્ધા હતી. અને એં શ્રદ્ધાને બેવફા ન બનવાનો મેં દૃઢ નિર્ધાર કર્યો. અન્યના અંતરમાં રહોલા કલ્યાણકર અગ્નિની આંચ પેટાવવા પ્રભુએ પોતાના જ હેતુ માટે શિક્ષિકાનો ઉપયોગ કર્યા છે.’ પોતાને મળે સુલીવાન રૂપી અમૂલ્ય ભેટને જોઈને પ્રભુ પામે અન્ય કાંઈ માગવાનું દુઃસાહસ કરવાનું હેલન ટાળે છે; બલકે આ બક્ષિસ માટે પોતાને થોગ્ય બનાવવાનું હેલન પ્રભુ પાસે પ્રાર્થે છે ‘શિક્ષિકાનો વિકલ્પ કોણ ?’ આ પ્રશ્નના ઉત્તરમાં હેલનનું કહેવું છે તેમ, શિક્ષિકાના વિકલ્પમાં ઈશ્વરે જાતે જ આવવું પડે. આ કથનમાં અતિશયોક્તિનો અશ પણ નથી એમ સુલીવાનનાં વ્યક્તિત્વને જોતાં જણાય.

    હેલન માટે કરીને સુલીવાને પોતાની અનેક શક્તિઓને ગોપનીય બનાવી દીધી. પરતુ તેમની જ આંગળી પકડીને ચાલેલી હેલન ગુરુની શક્તિઓથી પૂરેપૂરી જ્ઞાત છે. હેલન માટે કરીને સુલીવાને પોતાનાં સ્વત્વને ઢબૂરી દીધું તેનો હેલનને ક્યારેક વસવસો પણ જાગ્યો છે. સુલીવાને જો સ્વતંત્ર જીવન ગાળ્યું હોત તો તેઓ ઘણી સ્ત્રીઓ કરતાં વધારે સુખી થઈ શકત. તેમની સ્પષ્ટ વિચારસરણીને લીધે તેઓ નેતા ન બની શક્યાં હોત; લેખનકળાની તેજસ્વિતા ને તાજગીને લઈને સારાં લેખિકા પણ થઈ સક્યાં હોત. પણ તેમણે એ બધાં દ્વારો બંધ કરીને પોતાનો તમામ શક્તિસ્રોત હેલન પ્રતિ જ વરસાવવો યોગ્ય ધાર્યો. તેમની શિક્ષણકથા જ તેમની જીવનકથા બની રહી.

    ૮૮મા વર્ષે પોતાના જીવનસમગ્રને જોતાં પ્રસન્નતાપૂર્વક હેલન નોંધે છે : ‘અંધકારન! વર્તુળમાંથી બહાર કાઢીને તેમણે મને સુખના સોનેરી સમયમાં, પરસ્પર પ્રેમ અને સ્વપ્નોથી ગૂંથાયેલા સુંદર વિચારોના પ્રદેશમાં દાખલ કરી છે. જીવનને વધારે વિશાળ બનાવવા મેં મારા હાથ લંબાવ્યા છે.’

    જીવનના અંત તરફ સરકતાં હેલનને શિક્ષિકાની મધુર યાદ નાની બાળા બનાવી દે છે. વૃદ્ધ થતાં હેલનને સુલીવાનના આત્મપ્રકાશમાં પુનર્જન્મ તથા યૌવનનો આનંદ માણ્યાનો અનુભવ થાય છે. હેલનને ખાતરી છે કે ગુરુની સર્જનાત્મક પ્રજ્ઞા તથા માન્યતા કદીવે નાશ નહીં પામે.

    આચાર્ય કાકાસાહેબ કાલેલકર જેવા સમર્થ કેળવણીકાર ને કેળવણીપ્રેમીને સુલીવાનની આરાધના એવી તો ડોલાવી ગઈ છે કે હેલન કેલરની આત્મકથાનો પ્રસ્તાવનામાં તેઓ નાંધે છે : “સંધ્યા સમયે આકાશની નાની-શી ચન્દ્રકલા અને ચળકતી શુકની તારિકા પાસે પાસે શોભતી જોઈ કવિ વડ્ર્ઝવર્થ એને પૂછી બેસે છે કે તમારા બેમાં રાણી કોણ અને સખી કોણ તે તમે જ નક્કી કરીને કહો.’ હેલનની આત્મકથા વાંચ્યા પછી આપણને પણ પ્રશ્ન થાય છે કે અલૌકિક પ્રતિભાશક્તિ તે કોની કહેવાય – હેલનની કે સુલીવાનની !’ કાકાસાહેબના પ્રશ્નનો ઉત્તર હેલન પાસેથી સાંપડે છે તે પણ પાછી ગુંચ ઊભી કરે તેવો છે; “મારાં ગુરુ અને હું એટલા નિકટ છીએ કે તેમનાથી અલગ મને હું મારા વિશે વિચાર જ કરી શકતી નથી.. મને લાગે છે કે એમનો અને મારો આત્મા અવિભાજય છે.’ શિક્ષિકાની જીવનકથા લખવા ઈચ્છતાં હેલનને સુલીવાને જણાવ્યું છે તેમ, હેલનની જીવનકથા તે જ તેમની પણ જીવનકથા છે, બન્ને જણ એકબીજાંમાં અભિન્નત્વ પામ્યાં છે. સુલીવાનની જીવનયાત્રા અદ્વૈતની યાત્રા બની રહી હોવાથી કેળવણીકાર તરીકે તેમનું મૂલ્ય ઘણું ઊચું બને છે.


    [1] American Notes by Charles Dickens

    [2] *બાઈબલના જૂના કરારની આખ્યાયિકા પયગંબર મુસા ઇજિપ્તમાં બંધનમાં હતા. પ્રભુની આજ્ઞા થતા તેઓ સિનાઈ પર્વત પર ગયા જ્યાં તેમને સાક્ષાત્કાર થયો.


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : અશોક વિદ્વાંસ – સેકન્ડ ઇનીંગ્સ [૪]

    આ પહેલાં આપણે શ્રી અશોક વિદ્વાંસની પહેલી ઇનિંગ્સના લગ્ન – ભાવનગર – અને વડોદરાના તબક્કાથી અવગત થયાં
    હવે આગળ….

    સેકન્ડ ઇનીંગ્સ

    ભારતથી અમેરિકા સ્થળાંતર કરવા માટે શું તૈયારી કરવી જોઇએ એનો મને બહુ ઓછો ખ્યાલ હતો.  એ અંગે જાતઅનુભવ વગર જ સલાહ આપનારા ઘણાં હતા.  અમેરિકાથી બે મિત્રોએ એ દિવસોમાં મને લખેલા પત્રોનો ઉલ્લેખ કરવો જરૂરી છે.  ભરત કામદારે ઉમળકાભર્યું સ્વાગત કરતાં લખ્યું કે “અહીં અત્યારે મંદીનું વાતાવરણ છે પણ તું ચિંતા કર્યા વગર ચાલ્યો આવ.  કાંઇપણ થશે તો હું બેઠો છું.”  પછી ત્રણ જ વર્ષમાં સમય આવ્યો અને ભરતે પોતાનું વેણ અક્ષરશઃ પાળ્યું.  બીજો પત્ર ઉમેશ ધોળકીયાએ લખ્યો જેમાં એમણે સમગ્ર પરિસ્થિતિનું સચોટ વિશ્લેષણ કરી અમેરિકા આવવાના ફાયદા અને તોટા સ્પષ્ટ કરી બતાવ્યા.  અમેરિકા આવવાનો નિર્ણય આખરે શૈલાએ અને મારે જ લેવાનો હતો, પણ એમાં આ પત્રોએ ઘણી મદદ કરી.

    ૧૭ જુલાઈ ૧૯૮૩ની સાંજે ફિલાડેલ્ફિઆના હવાઈ મથકે ઉતરી હું અમેરિકા આવ્યો ત્યારે એક આંખ ઉઘાડનારી ઘટના બની.  મારા સામાનમાં એક સૂટ-કેસ અને એક પતરાની ટ્રંક, બે દાગીના હતા.  જે કસ્ટમ અધિકારીએ મારો સામાન તપાસ્યો એ બહુ સરસ માણસ હતો.  મારી કાયા સામે જોઇ મારી ભારે ટ્રંક એણે જ ઊંચકીને બેન્ચ પર મૂકી.  વાતચીતમાં એણે જાણ્યું કે હું ’ઇમિગ્રંટ’ તરીકે અમેરિકામાં કાયમ રહેવા આવ્યો છું એટલે મારા વ્યવસાય વિષે પૂછ્યું.  મેં જ્યારે કહ્યું કે હું મિકૅનિકલ એન્જિનીઅર છું ત્યારે મારી ટ્રંક તરફ આંગળી કરી સાવ સહજતાથી પૂછ્યું કે એ ટ્રંક મેં જાતે બનાવી છે?  મેં ચોંકીને ’ના’ કહ્યું, પણ ત્યારે મારા મગજમાં વીજળી ઝબૂકી કે અમેરિકામાં એન્જિનીઅરને કેવળ સૈદ્ધાંતિક જ્ઞાન જ નથી હોતું પણ એ ખાસ્સો ’હૅન્ડ્સ ઑન’ પણ હોય છે.  તરત જ અહીં ભવિષ્ય માટે મારે શી સજ્જતા કેળવવાની છે એનો મને ખ્યાલ આવી ગયો!

    મને લેવા આવેલા શિશિરભાઈ મને જોઈને ભેટી પડ્યા ત્યારે એમની આંખોમાં જે ચમક આવી’તી એ આજે પણ મને યાદ છે.  અમે ઘેર પહોંચ્યા ને બારણામાં જ ઇલાભાભીએ પોંખીને હેતથી મારું સ્વાગત કર્યું.  સત્તર વર્ષનો મૌલિન અને પાંચ વર્ષની એમીના મોં પર આનંદ અને કુતૂહલ હતાં.  જમવામાં ભાભીએ ખાસ રસ-પુરી બનાવેલા. ચોવીસ કલાકના પ્રવાસ પછી રાત્રે હું ઘસઘસાટ ઊંઘી ગયો.  ભાભીની ઓળખાણથી મને એક નોકરી મળી ગઈ; અને શિશિરભાઈની મદદથી મેં ’ડ્રાઈવર્સ લાયસન્સ’, ’સોશિયલ સીક્યોરીટી કાર્ડ’ પણ મેળવી લીધાં.  શિશિરભાઈના સ્વભાવની બે વાત અહીં નોંધવી જરૂરી છે.  એક, તેઓ ખૂબ પ્રેમાળ વડીલ છે, બીજું, તેઓ કદી ગુસ્સે થતા જ નથી.  ગુસ્સા અંગે એમણે મને કહેલું આ વાક્ય સહુએ યાદ રાખવા જેવું છે: “Ashok, when one is right there is no need to lose temper, and when one is wrong one cannot afford to lose temper.”

    અમેરિકા આવવાનો નિર્ણય કર્યો ત્યારે અમે વિચાર કરીને ઠરાવ્યું કે પહેલાં મારે એકલાએ જવું અને છએક મહિના પછી શૈલા અને રણજિત જોડાય.  શિશિરભાઈ ન્યુ જર્સીમાં રહેતા હતા અને શરૂમાં ચારપાંચ મહિના હું એમને ત્યાં જ રહ્યો.  પોતાના ઘર સિવાય અન્યના ઘરે રહેવા માટે માણસે મનથી તૈયારી કરવી પડે છે એ વાત મને સમજાઈ.  શૈલા-રણજિત આવે એ પહેલાં મેં સ્વતંત્ર ઍપાર્ટમૅન્ટ મેળવી લીધું, એ બંને આવ્યાં અને અમે સાવ નજીવા રાચ સાથે અમેરિકામાં અમારું પોતાનું પહેલું ઘર શરૂ કર્યું.  પહેલાં બે વર્ષ બહુ આકરાં ગયાં.  વડોદરાનું કેવું સરસ જીવન છોડી અમે અહીં આવી ભરાણાં છીએ, એવો નિરાશામય વિચાર મને ઘણીવાર અસ્વસ્થ કરી મૂકતો, અને હું શૈલા અને રણજિતને પણ બેચેન બનાવી દેતો.  અમે રહેતા’તા એ જ ગામમાં એક ફૅક્ટરીમાં મને ’ડ્રાફ્ટ્સમૅન’ તરીકે નોકરી મળી હતી, પણ ખૂબ પ્રયત્ન છતાં શૈલાને ત્યાં કશું જ કામ ન મળ્યું.  હું અને રણજિત કામ પર અને નિશાળમાં હોઇએ ત્યારે આખો દિવસ કામ વગર, કેવળ “આપણે માટે પાછા જવાનો વિકલ્પ બંધ છે” એવા દ્રઢ નિર્ણયને લીધે જ શૈલા બધું સહન કરતી રહી.  ’તપ’ શબ્દના અર્થનો વિસ્તાર કરીએ તો શૈલા ત્યારે તપ કરતી હતી.  એ દિવસોમાં મીના દેવધર, ભરત કામદાર, અને ઉમેશ તથા કલ્પનાબેન ધોળકીયા જેવા મિત્રોએ વખતોવખત ઉત્તેજન અને સધિયારો આપ્યાં જે અમને આકરા સમયમાં ટકી રહેવામાં ખૂબ મદદરૂપ થયાં.

    ૨જી ડિસેમ્બર ૧૯૮૪ની સાંજે સમાચાર આવ્યા કે દાદાનું અમદાવાદમાં અવસાન થયું છે.  એમની ઉંમર એંશી ઉપર હતી એટલે એમાં આશ્ચર્યકારક તો કશું ન હતું છતાં હું હતપ્રભ થઈ ગયો.  એમના અંતિમ દિવસો કેવા ગયા હશે?  અંત વેદનામય હશે કે તેઓ સ્વસ્થતાથી ’ગયા’ હશે?  આખરના મહિનાઓમાં પણ તેઓ સ્વમાન સાથે જીવ્યા હશેને?  વગેરે પ્રશ્નોના ઉત્તર મને આજ સુધી નથી મળ્યા, અને કદી મળશે પણ નહીં.  જિંદગીમાં મેં પાછું ન લઈ શકાય એવું એક કદમ ભર્યું હતું.  હવે આગળ ચાલ્યા કરવું એ જ એક વિકલ્પ હતો.  જાત સાથે થોડી સમજાવટ કરી મેં એ વિકલ્પ અપનાવ્યો.

    એ ગામમાં બે વર્ષ કાઢી અમે ન્યુ-જર્સીના ’પ્રિન્સ્ટન’ ભાગમાં ’પ્લેન્સબરો’ નામના ગામમાં, મિત્ર સમુદાય વચ્ચે રહેવાં ગયાં.  ત્યાં અમને બંનેને સરસ નોકરી મળી ને તત્કાલ અમારા જીવનમાં સ્થિરતા આવી.  અમેરિકામાં શિક્ષણની સગવડ પર કેટલું ધ્યાન આપવામાં આવે છે એનો અમને આ પહેલાં જ ખ્યાલ આવી ગયો હતો.  રણજિત સહેલાઈથી અમારા ગામની સ્કૂલમાં દાખલ થયો.  હવે અમારે બંનેને નોકરી પર જવાનું શરૂ થયું એટલે બીજી કારની જરૂર ઊભી થઈ અને અમે પહેલી નવી કાર ખરીદી.  એ પછી ’અમેરિકન ડ્રીમ’ એટલે કે પોતાનું ઘર હોવું એ અમારી જરૂરિયાત બની, અને અમને આ દેશમાં ત્રણ વર્ષ થવા પહેલાં અમે એ સપનું પણ સાધ્યું.   બસ, એ પછી અમે કદી પાછું વળીને જોયું નથી.   ઘર લીધું ત્યારની આ વાત છે.  અમારા બંનેની આવક ઘરનો હપ્તો સહેલાઇથી ભરી શકીએ એટલી હતી, પણ ઘર લેવા માટેનું ’ડાઉન પેમૅ’ન્ટ’ કરી શકીએ એટલી અમારી બચત ન હતી.  એ સમયે ભરત કામદાર અમારી પડખે ઊભો રહ્યો અને સામેથી ફોન કરી એ માટે પૈસા મોકલી આપ્યા. આમ ભરતની મદદથી અમેરિકામાં અમે પહેલીવાર ઘરમાલિક બન્યાં.

    ધીમે ધીમે અમને અમેરિકામાં પાંચ વર્ષ થયાં.  અમારા લગ્ન પહેલાં ભારતમાં જ શૈલાએ ’સ્ટૅટિસ્ટિક્સ’માં એમ. એસસી. કર્યું હતું.  અહીં એણે ’કમ્પ્યુટર સાયન્સ’માં એમ.એસ. કર્યું.  આ દેશમાં આવી વસેલા બધા જ પરદેશીઓ કરે છે એ પ્રમાણે એણે પણ કામની સાથે સાથે જ એ ડીગ્રી મેળવી.  એથી એને વધુ સારી નોકરી મળી, બધી રીતે અમારી ’મોકળાશ’ વધી, ઘણી બધી નવી ઓળખાણ થઈ અને અમે અહીંના મરાઠી તેમ જ ગુજરાતી, બંને સમાજમાં સ્થાન મેળવ્યું.  વ્યાવસાયિક ક્ષેત્રે શૈલાની પ્રગતિ ચાલુ રહી, અને છેલ્લા દસેક વર્ષ  એણે ’કન્સલ્ટન્ટ’ તરીકે સ્વતંત્રપણે કામ કર્યું.  દરમિયાન, મેં બધાં જ વર્ષ એક જ નોકરી કરી.  રોજ ટ્રેનમાં ’કમ્યુટ’ કરતાં મળતો સમય મેં અંગ્રેજી, ગુજરાતી, અને મરાઠી પુસ્તકો વાંચવામાં પસાર કર્યો.  નવલકથા કે વાર્તા-માસિક ન વાંચતા એ સમયમાં મેં અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, તથા સામ્યવાદ અને મૂડીવાદને લગતાં પુસ્તકો વાંચ્યાં.  એ બધું જ સમજાયું એમ તો હું ન કહી શકું પણ થોડુંક સમજાયું અને ન સમજાયું એમાંથી પણ આનંદ ખૂબ મળ્યો.

    અમેરિકા-વસવાટના પાંચ વર્ષ પૂરાં થયાં કે તરત જ શૈલાએ અહીંની ’સીટીઝનશીપ’ મેળવી અને પોતાનાં બાને બે મહિના ફરવા અહીં બોલાવ્યાં.  દર બે વર્ષે બાને મળવા શૈલા ભારત આંટો મારી આવતી હતી તો રણજિત પણ ઉનાળાની રજામાં ભારતની મુલાકાતે જતો.  આથી ભારતમાં રહેલાં સગાં અને મિત્રો સાથે અમારો ઘનિષ્ટ સંપર્ક, અને પરિણામે ભારત જવાનું આકર્ષણ, કાયમ રહ્યાં.  નિવૃત્તિનાં વર્ષોમાં અમને આ સંબંધોનો ખૂબ લાભ મળ્યો છે.

    ૧૯૮૭-૮૮માં ન્યુજર્સીના મરાઠી સમુદાયે “अलीबाबाची हीच गुहा” નામનું સંગીતનાટ્ય તૈયાર કર્યું જેમાં રણજિતને એક નાની ભૂમિકા કરવાની તક મળી.  એનાં અમેરિકામાં ચાર અને ભારતમાં દસ ’શો’ થયા.  ચારેક મહિના એ પ્રવૃત્તિમાં ૩૫-૪૦ લોકો સાથે રહેવાથી ૧૩-૧૪ વર્ષનો અંતર્મુખ સ્વભાવનો રણજિત જાણે પોતાની બખોલમાંથી બહાર નીકળી આવ્યો હોય એમ મોકળો અને ’બોલકણો’ થઈ ગયો.  અમારે મન એણે ’અલીબાબાની ગુફા’માંથી બહાર નીકળવાનો પોતાનો રસ્તો શોધી કાઢ્યો હતો!

    એ જ સમયમાં ત્રણેક મહિના મને એક ન કળાય એવી માંદગી આવી ગઈ.  એક દિવસ અચાનક મારા ડાબા ઘૂંટણની નીચેના ભાગની સંવેદના જતી રહી.  શૉવરમાં પગ પર પડતું પાણી ગરમ છે કે ઠંડું એ સમજાતું ન હતું.  તપાસમાં જણાયું કે મારા કરોડરજ્જુ પર કશુંક લીશ્ઝન (Lesion) હતું.  આખરે દવા-સારવાર પછી હું એમાંથી પૂરો બહાર આવ્યો અને પાછો કામે લાગ્યો.  પરંતુ એ દરમિયાન હું કદાચ કાયમ માટે પરાધીન થઈ જાઉં એવી શક્યતા ડોકિયું કરી ગઈ, અને પછીના થોડાં વર્ષ સુધી એ તલવાર મારા માથા પર લટકતી હોય એવા માનસિક ભાર નીચે હું રહ્યો.

    અમેરિકામાં મેં પહેલા જે બે બૉસના હાથ નીચે કામ કર્યું એ બંને પૂરેપૂરા ’પ્રોફેશનલ’ હતા.  બંનેને ખબર હતી કે હું અહીં નવો છું અને એમણે મને એ રીતે સ્વીકારીને કામ સોંપ્યું, અને લીધું.  જ્યાં ક્યાંક મારી ભૂલ થઈ ત્યાં તેમણે એની જવાબદારી પોતાના માથે લીધી પણ જ્યાં મેં કાંઈક સારું કામ કર્યું ત્યાં એનો બધો યશ મને આપ્યો.  એમાંના એક પાસેથી અમેરિકાના ઇતિહાસ વિષે, ને એથીયે વધુ અગત્યનું એટલે ’અમેરિકન કૉર્પોરેટ કલ્ચર’ વિષે મને ઘણું જાણવા મળ્યું.  એકંદર મેં ૨૩ વર્ષ નોકરી કરી એમાં બીજા બે એવા જ ઉમદા બૉસ મને મળ્યા.  પણ એ સાથે જ એક ’સાધારણ’, અને એક બિલકુલ ’ખડ્ડુસ’, સ્વાર્થી અને ટૂંકી બુદ્ધિના બૉસ નીચે પણ મેં કામ કર્યું.  આ બધું અનુભવ્યા પછી હું એવા તારણ પર આવ્યો છું કે જે બૉસ પોતે કામ બરાબર જાણતો હોય, પોતાનાં જ્ઞાન અને આવડત પર જેને પૂરો વિશ્વાસ હોય, એ જ પોતાના હાથ નીચેના માણસથી નિશ્ચિંત રહી શકે છે.  જે બૉસ પોતે જ કાચો અને ઉણો હોય એ પોતાના મદદનીશથી કાયમ ડરતો હોય છે ને તેથી જ સતત મદદનીશને દબાવી રાખવા પ્રયત્નશીલ હોય છે.  આ હકીકત માત્ર અમેરિકન બૉસને જ લાગુ પડે છે એવું નથી, આ બંને પ્રકારના બૉસ, મેં ભારતમાં પણ જોયેલી અને અનુભવેલી વસ્તુસ્થિતિ છે.

    ઑફિસમાં, રોજ ટ્રેનમાં જતાં-આવતાં, પડોશમાં, અમારી ’સૉક્રેટીસ ક્લબ’માં, કાળા અને ગોરા બંને પ્રકારના અમેરિકનોને નિહાળ્યા પછી મેં કેટલાંક અવલોકન તારવ્યાં છે.  એની થોડી વાતો અહીં નોંધવી યોગ્ય લાગે છે.

    ઉપરના બધા સંદર્ભમાં મેં નિહાળ્યું છે કે અમેરિકન સમાજનો ઘટક ’વ્યક્તિ’ છે.  આથી વેગળું, ભારતીય સમાજનો ઘટક ’કુટુંબ’ છે.  ભારતથી અહીં આવી વસેલા આપણસહુ માટે આ ખૂબ મહત્ત્વનો અને સમજવો જરૂરી ફરક છે.  અહીં વ્યક્તિની વિચાર કરવાની દિશા અને એનાં નિર્ણયો મુખ્યત્વે પોતાને કેંદ્રમાં રાખીને લેવાતાં હોય છે, એ જ એની તાસીર છે.  ભારતમાં આપણે એ નિર્ણયો સમગ્ર કુટુંબ, અને ક્યારેક તો આખા સમાજને લક્ષમાં રાખીને લઈએ છીએ.  અહીંના વાતાવરણમાં ઉછરેલાં આપણાં બાળકોના નિર્ણય ક્યારેક આપણને સમજાતાં નથી, અગર અકળાવે છે એનું એક કારણ એમની વિચાર કરવાની આ જુદી ભૂમિકા છે.  આપણે, પહેલી પેઢીના સભ્યો આ હકીકત સમજીને સ્વીકારીએ તો બે પેઢી વચ્ચેનો તણાવ થોડોક નિવારી શકીશું.

    બીજી બે ખાસ વાત પણ અમેરિકનોના સ્વભાવ વિષે મારા ધ્યાનમાં આવી છે.  પહેલી, તેઓ કોઇપણ કામને હલકું નથી સમજતા.  આપણે ભારતીયો હાથે કરવાનાં, મહેનતનાં કામને ઉતરતાં માનીએ છીએ, ત્યાં સુધી કે સુથારીકામ, લુહારીકામ, કડિયાકામ, જેવાં હાથે કરવાનાં કામની આવડત માટે આપણાં શાસ્ત્રોમાં ’અવિદ્યા’ શબ્દ છે અને કેવળ બ્રહ્મજ્ઞાનને લગતી વાતોને જ શાસ્ત્રોમાં ’વિદ્યા’ કહ્યું છે.  આ વિચારધારાને લીધે જ આપણો સમાજ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ કરવામાં પશ્ચિમના દેશો કરતાં પછાત રહી ગયો.  અહીંની ઑફિસોમાં કામ કરતાં આપણે સહુએ જોયું છે કે મોટો અધિકારી પણ નાનાં-નાનાં કામ જાતે જ કરે છે.  અમેરિકાની ભૌતિક સમૃદ્ધિનાં અનેક કારણ છે, પણ પૂર્વજોએ કરેલી પાછલા ત્રણસો વર્ષની તનતોડ મહેનત એમાંનું મુખ્ય છે એ નિર્વિવાદ છે.  વક્રોક્તિ તો એ છે કે આ દેશમાં લાંબો સમય રહ્યા પછી આપણે આવાં મહેનતનાં કામનું મહત્વ સ્વીકારીએ છીએ પણ જ્યારે ભારતની મુલાકાતે જઈએ છીએ ત્યારે પાછો આપણો પેલો ’અસ્સલ સ્વભાવ’ ઉપર આવી જાય છે ને આપણે આપણી સૂટકેસ ઉંચકતાં પણ ખચકાઈએ છીએ!

    અમેરિકનોના સ્વભાવની બીજી ખાસિયત એમની નિખાલસતા છે.  સામાન્ય રીતે કોઇ વાત વિષે પોતાનો અભિપ્રાય તેઓ નિઃસંકોચપણે, કશી ઔપચારિકતામાં અટવાયા સિવાય આપે છે.  એમાં સામેની વ્યક્તિનાં માન કે મોભાને તેઓ બિનજરૂરી મહત્વ નથી આપતા.  આને લીધે અહીંનું સમાજજીવન કશાપણ આડંબર વિનાનું થયું છે.  ખેદની વાત છે કે આ બાબતે આપણું વર્તન ક્યારેક દંભી લાગે એટલું ઔપચારિક હોય છે.

    ”અમેરિકનો લાગણીશીલ છે, ઓછા છે, કે નથી?’ એ સવાલ ઘણીવાર ઊભો થાય છે.  મને લાગે છે તેઓ લાગણીશીલ છે, માત્ર એમની વ્યક્ત કરવાની રીત જુદી હોય છે.  મારા એક મિત્ર ત્રણેક વર્ષથી ’અલઝાઈમર’થી બીમાર છે અને સાવ પરવશ અવસ્થામાં છે.  એમના અમેરિકન જમાઈ દર ત્રણ દિવસે એમની દાઢી કરી આપે છે!  આને એમની શ્વસુર પ્રત્યેની લાગણી નહીં તો બીજું શું કહેવું?   સાત-આઠ વર્ષ પહેલાં શિયાળામાં અમે ભારતથી પાછા આવવાના હતાં એના આગલે દિવસે જ અહીં ૮”-૧૦” સ્નો પડ્યો.  શૈલાએ અમારી પડોશણને ફોન કરી અમારું ’યાર્ડ-વર્ક’ કરનાર માણસ પાસે સ્નો સાફ કરાવી લેવા વિનંતી કરી.  જવાબમાં એણે કહ્યું, “તું ચિંતા ન કરતી, મારા દીકરાએ તારો ’ડ્રાઈવ-વે’ સવારે જ સાફ કરી નાખ્ય઼ો છે.”  શૈલા શું બોલે? આવા અમેરિકામાં આવી રહેવાનું કોને ન ગમે?  પણ વતનથી દૂર જઈ વસનારાં સહુની જેમ અમને પણ વતન-ઝુરાપો, શરૂમાં અતિશય અને હવે ઓછો, પણ સાલે છે જરૂર.  અહીં આવ્યા પછી થોડાં વર્ષ પછીની ભારત મુલાકાતમાં એક મિત્રે પૂછ્યું,  “તમને ભારત ઘર લાગે કે અમેરિકા?”  એકપણ મટકું માર્યા વિના અમે કહ્યું, “ભારત”.  પરંતુ ધીમેધીમે એ લાગણી ક્યારે બદલાઈ એ ખબર નથી, પણ આજે હવે દુનિયામાં ગમે ત્યાં ફરીને પાછા જ્યારે ’નુઅર્ક’ના લીબર્ટી એરપોર્ટ પર ઉતરીએ ત્યારે “હાશ, ઘરે આવ્યા!” એવી લાગણી જરૂર થાય છે.  ખરે જ, માયામાં માણસનું મન કેવું અટવાઈ જતું હોય છે!

    અલબત્ત, પરદેશને પોતાનું વતન બનાવનારાં બધાંની જેમ અમારાં માટે પણ આ એક ’પડીકે બાંધી જણસ’ છે.  અહીં આવી ઘણું પામ્યાં છીએ અને એની સામે ઘણું જતું કરવું પડ્યું છે.  વળી એ હિસાબ એવો છે કે એનાં જમા-ઉધાર પાસાં કરી આખર નફો થયો કે ખોટ ગઈ? એવું સરવૈયુ નથી કાઢી શકાતું.  એમાં તો પેલા હિંદી ગીતની માફક, “જો મિલ ગયા ઉસીકો મુક્કદર સમજ લિયા, જો ખો ગયા મૈં ઉસકો ભૂલાતા ચલા ગયા.” કહીને મનને મનાવી લેવાની જ વાત હોય છે.

    અમારાં ’જૉબ’ સરસ ચાલતા હતા.  એકંદરે અમે ’ખાધેપીધે સુખી’ અને નિશ્ચિંત થયાં હતાં.  એટલે ધીમેધીમે આજુબાજુ નજર કરવાની ઇચ્છા થવા માંડી; અને જોયું તો ખ્યાલ આવ્યો કે આ દેશ માત્ર આર્થિક સંપત્તિ મેળવવા માટે જ ’લૅન્ડ ઑફ ઑપોર્ચુનિટિ’ છે એમ નથી.  અહીં તો મહેનત કરવાની તૈયારી હોય એવી દરેક વ્યક્તિ બધા જ પ્રકારની સિદ્ધિ પામી શકે છે.  બહુ સાદી વાત એટલે દેશવિદેશમાં પ્રવાસ.  અમે ડૉલરમાં કમાતાં થયાં અને તરત જોયું કે આખી દુનિયા ખરેખર આપણાં પગતળે કરવાનું સામર્થ્ય આપણને સાંપડ્યું છે.  ત્યારથી લગભગ પ્રત્યેક વર્ષે અમે પરદેશ-પ્રવાસ કરીએ છીએ, ને અમે જાણીએ છીએ કે એમાં કાંઇ મોટો વાઘ મારવાની વાત નથી; એમ કરવું બધાને સહજ પોસાય છે.

    છતાં એ બધા પ્રવાસોમાં અમારાં મિત્ર જિજ્ઞેશ અને વર્ષાબેન સાથે અમે કરેલા બે પ્રવાસ વિશિષ્ટ છે.  એક એટલે ’ફેરબૅન્ક’ અલાસ્કાથી ’બૅરો’ અલાસ્કા સુધીનો કાચા રસ્તા પર આશરે ૮૦૦ માઈલનો મોટર પ્રવાસ, જેમાં અમે ’શિતવૃત્ત’ ઓળંગીને ’શિત કટિબંધ’માં પ્રવેશ્યાં અને ત્યાં જુન મહિનામાં ચોવીસ કલાક ન આથમનારો સૂર્ય દીઠો.  ઉત્તર અમેરિકાખંડને છેડે ’શિત મહાસાગર’માં પગ ઝબોળી આવ્યા.  આ પ્રવાસમાં ઘણું અવનવું જોયું, પણ એમાં ’આગળનો પેટ્રોલ પંપ ૨૧૩ માઈલ’ એવો નિર્દેશ કરતી રસ્તા પરની સૂચના સૌથી ચિત્ત-થરારક હતી  એ જ મિત્રયુગલ સાથે ૨૦૧૮માં વાહનમાર્ગે કરેલો ૧૧,૦૦૦ માઈલનો -અમેરિકાના પૂર્વ કિનારાથી પશ્ચિમ કિનારા સુધી અને વાપસ- પ્રવાસ પણ જિંદગીભર યાદ રહી જાય એવો છે.  એ પ્રવાસમાં અમે ૫૫ દિવસમાં આડાઅવળા ઘણું ફર્યાં અને આ દેશ કેટલો રળિયામણો છે, રસ્તા કેવા બધી સગવડથી સજ્જ છે, જોવાનાં સ્થળોની માહિતી કેવી સરળતાથી મળી રહે છે, અને લોકો કેવા મળતાવડા તથા મદદશીલ છે; એ બધું અનુભવ્યું.

    પાછલા ૨૫-૩૦ વર્ષમાં અમેરિકામાં રહેવાનો મને એક મોટો ફાયદો એ થયો છે કે હું માત્ર વાચક જ ન રહેતા થોડું-થોડું લખતો થયો.  આ માટે હું બે વ્યક્તિ અને એક સંસ્થાનો ખૂબ-ખૂબ ઋણી છું.  એ બે વ્યક્તિ એટલે કિશોરભાઈ રાવળ અને કિશોરભાઈ દેસાઈ, તથા એક સંસ્થા એટલે આપણું ’ગુર્જરી’ ત્રૈમાસિક.  કિશોરભાઈ રાવળ જેટલા સરળ અને સજ્જન માણસો મેં જીવનમાં બહુ ઓછા જોયા છે.  “સામા માણસને પોતે ઉપકૃત થયો છે એવી લાગણી થવા દીધા સિવાય પણ એને મદદ કરી શકાય છે” એ તો કોઇ કિશોરભાઈ રાવળ પાસેથી જ શીખે!  સજ્જનતા, નિખાલસતા, અને સરળતામાં આ બે કિશોરમાં કોણ ચડે? એ નક્કી કરવું સક્ય નથી.  એ માટેનો ચાંદ આપવાનો હોય તો એ કરવતથી કાપીને આ બંને વચ્ચે અડધો-અડધો જ કરવો પડે.  કિશોરભાઈ દેસાઈએ ’ગુર્જરી’ ચલાવીને આપણામાંથી અધધધ કેટલા બધાને લખવાની પ્રેરણા આપી!  એમનો માતૃભાષાપ્રેમ અને ભલભલા કર્મયોગીને શરમાવે એવી નિરપેક્ષ વૃત્તિ, તથા હંસાબેન જેવાં ખરાં અર્થમાં સહધર્મચારિણી, આ ત્રિવેણી સંગમને લીધે જ આપણને આજે સતત ૩૫ વર્ષથી ’ગુર્જરી’ મળ્યા કર્યું છે.  ને કિશોરભાઈની સંપાદકના ધર્મ બદલની નિષ્ઠા વિષે તો શું કહેવું?  આ લખતાં કિશોરભાઈને એક વિનંતી કરવાનું મન થાય છે કે તેઓ “સંપાદકનો ધર્મ” વિષે એકાદ લેખ લખે.

    અમેરિકામાં મને ગુજરાતી ભાષાનો મહાવરો કરવાની તક આપવા માટે હું ’ગુજરાતી લિટરરી ‘ઍકેડૅમી ઑફ નૉર્થ અમેરિકા’, હરનિશભાઈ જાની, આચાર્ય મધુસૂદનભાઈ, મધુ રાય, અને રામભાઈ ગઢવી; એ બધાનો પણ આભારી છું.  અમને બંનેને ઉમાશંકરભાઈ જોશી તથા મનુભાઈ પંચોળી જેવા મૂર્ધન્ય સાહિત્યકારોને સાંભળવાની તક ’ઍકૅડૅમી’ને લીધે જ મળી.  રામભાઈએ અધિવેશનમાં ’પઠન’ સત્રનું સંચાલન કરવાનું કામ મને સોંપ્યું તેથી લેખકોનાં સ્વાભિમાન, અભિમાન, અને મિથ્યાભિમાન સમજવાની સરસ તક મળી.

    અમેરિકામાં અમારા માટે ગુજરાતી નાટકો તૈયાર કરી ભજવવાની વધુ એક પ્રવૃત્તિ કરવાનું શક્ય બન્યું.  ૧૯૮૭ થી ૧૯૯૫ના ગાળામાં મેં ચાર મરાઠી નાટકોનું ગુજરાતી કર્યું, અને અમે પંદરેક જેટલા મિત્રોએ ભેગાં થઈ એ બધાંને રંગભૂમિપર રજૂ કર્યાં.  એ પ્રવૃત્તિ કરતાં મને ’ટીમવર્ક’ તથા ’ટીમલીડરશીપ’ એટલે શું એ જાતઅનુભવથી શીખવા મળ્યું.  શૈલાએ દિગ્દર્શનના કામમાં તો મને સહાય કરી જ, પણ સાથે જ દરેક નાટકમાં અગત્યના પ્રવેશ ભજવ્યા અને પડદા પાછળનાં કામની મોટાભાગની જવાબદારી ઉપાડી.  એક વખત તો એણે પ્લેન્સબરો-ન્યુજર્સીથી હૅરિસબર્ગ-પેન્સીલવેનિયા સુધી નાટકનો સામાન ભરેલી ટ્રક સુદ્ધાં ચલાવી!  આ પ્રવૃત્તિને લીધે ઘણાં જૂના મિત્રો સાથેની અમારી મૈત્રી વધુ ઘનિષ્ટ બની.  આજે બે દાયકા પછી પણ એ મિત્રો સાથે નાટકનાં મીઠાં સ્મરણો અમે વાગોળીએ છીએ.  ખૂબ કામ પણ સાથે એટલો જ નિજાનંદ, એ મારે મન આ પ્રવૃત્તિની બહુ મોટી દેણગી હતી.

    ઉત્તર અમેરિકામાં મરાઠીભાષિકોનાં જુદાં જુદાં ત્રણ મંડળ સાથે અમે સંકળાયેલાં છીએ.  એમાંનું પ્રથમ એટલે ન્યુજર્સી સ્થિત ’મરાઠી વિશ્વ’, બીજું સમસ્ત ઉત્તર અમેરિકાના મરાઠીભાષિકોને દર બે વર્ષે ભેગા કરનારું તથા વર્ષ દરમિયાન ભેગા રાખનારું ’બૃહન મહારાષ્ટ્ર મંડળ’, ત્રીજું મરાઠી લોકોને દાન કરવાની તક આપતું ’મહારાષ્ટ્ર ફાઉન્ડેશન’.  પોતાનાં ઉત્સાહી સ્વભાવ, કામ કરવાની સૂઝ તેમ જ ધગશ, અને રાત-બેરાત જાગીને કામ પાર પાડવાની ક્ષમતા તથા તૈયારી; આ બધા ગુણોને લીધે ૧૯૯૫થી ૨૦૦૮ સુધીમાં ક્રમશઃ શૈલા આ ત્રણે સંસ્થાની પ્રમુખ બની અને સફળ નીવડી.  એ સાથે જ શૈલા અનેક જગ્યાએ સ્વયંસેવક તરીકે પણ વ્યસ્ત રહી.  હવે બધેથી નિવૃત્ત થયા પછી પણ સ્વયંસેવક તરીકેનું એનું સમાજકાર્ય સતત ચાલે છે.  મારી ખાતરી છે કે શૈલા માટે આ બધું કરવું શક્ય બન્યું કારણ અમે અમેરિકામાં રહીએ છીએ.

    ૨૦૦૫ની સાલમાં અમારાં કુટુંબમાં સોનાનો સૂરજ ઊગ્યો.  એ વર્ષની ૧૫મી ઑક્ટોબરે અમારો દીકરો રણજીત, અને આનંદ તથા સુવર્ણા જોશીની દીકરી સંજીવની લગ્નગ્રંથિથી જોડાયાં.  યોગાનુયોગ, એક વાત એ કે સંજીવની માત્ર મહારાષ્ટ્રીઅન જ નહીં પણ એમાંયે અમારી પેટા જ્ઞાતિની છે, અને આપણી દેશી ભાષામાં કહીએ તો ’દીવો લઈને શોધવા નીકળ્યા હોત તો પણ અમને આવી રૂપાળી અને ગુણવાન પુત્રવધૂ ન મળી હોત.’  અસ્તુ.  લગ્ન અમે ખૂબ ધામધૂમથી કર્યાં અને ૨૦૧૦માં અમારી પૌત્રી અનામિકા અને ૨૦૧૩માં પૌત્ર તાલીન,નાં જન્મ થયા.  એ સહુને કારણે આજે અમારું ઘર ભર્યું-ભર્યું અને પ્રફુલ્લિત છે.

    ૧૯૮૩ના ડિસેમ્બર મહિનામાં શૈલા અને રણજીત ભારતથી અહીં આવ્યાં.  એ પછી ૧૯૮૪માં પ્રથમવાર શૈલાએ અમારા ઘેર કૌટુંબિક દિવાળી ઉજવી.  ત્યારથી આજ સુધી દર વર્ષે સગાં અને મિત્રો મળી આશરે ૩૦-૩૫ જણાંની સાથે અમે આપણો એ તહેવાર, પૂરા ઉત્સાહથી ઉજવીએ છીએ.  અન્ય કોઇ બાબતમાં અમે હવે હિંદુ નથી રહ્યાં કે ઘરમાં કોઇ ભગવાનની પૂજા નથી કરતાં, પણ શૈલાએ હોંશેહોંશે સ્વીકારેલી આપણી એ પરંપરા અમે બરાબર પાળીએ છીએ.

    આ બધી પ્રવૃત્તિ સાથે મારો વાચનનો શોખ પણ ખીલતો રહ્યો છે.  ગુજરાતી ઉપરાંત મેં ઘણાં મરાઠી પુસ્તકો પણ વાંચ્યાં છે, જેમાં અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનાં પુસ્તકો મુખ્ય છે.  જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા મને વધુ ’પોતાની’ લાગે છે, પણ મારે કબૂલ કરવું જોઇએ કે આજે ગુજરાતી કરતાં મરાઠી ભાષામાં વધુ મૌલિક, વધુ પ્રગલ્ભ, વિવિધ દિશા ખેડનારું, વધુ તાજા વિચાર રજૂ કરનારું સાહિત્ય લખાય છે.  કાવ્ય, નાટક, લલિત તેમ જ ગંભીર સાહિત્ય; બધા જ ક્ષેત્રમાં મરાઠીની મજલ મોટી છે.  મારા વાંચવાના શોખ અંગે એક વાતનો ખેદ છે કે મેં અંગ્રેજી સાહિત્ય ખૂબ જ થોડું વાંચ્યું છે.  પણ હવે તો “અબ પછતાતે હોત ક્યા જબ ચિડિયા ચૂગ ગઈ ખેત’ જેવી પરિસ્થિતિ છે.

    છેલ્લાં ૨૦-૨૫ વર્ષમાં મેં થોડું આપણું પુરાતન સાહિત્ય વાંચવા પ્રયત્ન કર્યો છે.  એ વાંચતાં મારી વૈચારિક ભૂમિકામાં મહત્વનો બદલ એ થયો છે કે હું લગભગ નાસ્તિક, અથવા અજ્ઞેયવાદી, બન્યો છું.  માનવીના અસ્તિત્વ માટે મને આત્મા કે ઈશ્વરની જરૂર જણાતી નથી.  ઉલ,ટું, હું એમ માનતો થયો છું કે ઈશ્વરની કલ્પના કરીને માણસે માણસને ગૂંચવાડામાં નાખ્યો છે.  આવી માન્યતા દ્રઢ કરતા પહેલાં મેં ભગવદ્‍ગીતા પરનાં ત્રણ વિવરણ વાંચ્યાં.  ગીતામાં મોક્ષપ્રાપ્તિના જ્ઞાન, કર્મ અને ભક્તિ એવા મુખ્ય ત્રણ માર્ગ ચીંધ્યા છે.  આશરે આઠમી સદીમાં આદિ શંકરાચાર્યે જ્ઞાનમાર્ગ પર સંસ્કૃતમાં વિવરણ લખ્યું; પછી ૧૩મી સદીમાં મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વરે ભક્તિમાર્ગ પર, અને આજથી આશરે સવાસો વર્ષ પહેલાં બાળ ગંગાધર ટિળકે કર્મમાર્ગ પર વિવરણ લખ્યું.  મેં એ ત્રણે, અને  કઠોપનિષદ, ઈશાવાસ્યોપનિષદ, પ્રશ્નોપનિષદ, તથા માંડુક્યોપનિષદ, એમ ચાર ઉપનિષદ પણ વાંચ્યા છે.  આ બધું વાંચી એ વિષે વિચાર કર્યા પછી હું ઉપરના નિષ્કર્ષ પર આવ્યો છું.

    જેમ જીવન એક મુસાફરી છે એમ જ માણસનું વૈચારિક ઘડતર પણ એક સતત ચાલતી મુસાફરી છે.  મારી એ મુસાફરી ધીમી ગતિએ, પરંતુ અટક્યા વગર અત્યારે તો ચાલી રહી છે.  હવે જે થોડો સમય મારા હાથમાં છે એમાં એ મુસાફરી મને ક્યા મુકામે લઈ જશે એ હું શાંત ચિત્તે જોયા કરું છું.

     

    બસ હવે ઉતાર છે

    ૨૦૦૮ના ડિસેમ્બરમાં મેં કામ પરથી નિવૃત્તિ લીધી.  છતાં દિવસનો ઘણો સમય મને ગમતાં કામમાં વ્યસ્ત રહેવાનું મેં ચાલુ રાખ્યું.  નિવૃત્તિના પહેલા વર્ષમાં જ મેં ઋગ્‍વેદ સંહિતા વાંચી.  ઋગ્‍વેદ એ માત્ર આર્યોનો જ નહીં પણ સમસ્ત માનવજાતનો આદિ ગ્રંથ માનવામાં આવે છે.  અવારનવાર મેં એનો ઉલ્લેખ સાંભળેલો પણ વધુ કશી જ માહિતી ન હતી, એથી જિજ્ઞાસાથી પ્રેરાઈ મેં ઋગ્‍વેદ વાંચવાનું ઠરાવ્યું.  એમાં દસ મંડળ છે, પ્રત્યેક મંડળમાં અનેક સૂક્ત છે, અને પ્રત્યેક સૂક્તમાં અનેક ઋચા છે.  એમાં ઘણી જગ્યાએ ઉષઃકાલનું સુંદર વર્ણન છે.  ઇન્દ્ર, વરુણ, ઇત્યાદિ કુદરતી બળો-તત્વો એ સમયનાં આર્યોનાં આરાધ્ય દેવ છે.  સોમરસ અને સોમપાનને પણ ત્યાં સ્થાન છે.  એકંદરે મને ઋગ્‍વેદ વાંચતા આનંદ થયો.

    એ સાથે જ મારું ઇતર વાચન ચાલુ રહ્યું છે.  ત્રણ વર્ષ પહેલાં મેં એક મરાઠી મિત્રે લખેલા ૪૫૦ પાનાંના પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો, અને એ સાથે જ એક મારો લઘુકથા સંગ્રહ પણ પ્રસિદ્ધ કર્યો.

    ૨૦૨૧માં શૈલા અને હું એક “૫૫+ કમ્યુનિટિ”માં રહેવા આવ્યાં એથી અમારી રહેણી થોડી બદલાઈ છે.  જીવનમાં સ્થિરતા અને સ્વસ્થતા વધ્યાં છે, પણ ગતિ ઘટી છે.  અત્યાર સુધીના જીવન અંગે એકંદરે સંતોષ છે.  બેએક વર્ષ અગાઉ આ મનઃસ્થિતિનું વર્ણન કરતું એક અછાંદસ કાવ્ય મેં લખ્યું હતું.  અત્યારની મારી વાત એમાં સારી રીતે રજૂ થઈ છે.  એટલે એ કાવ્ય સાથે મારી વાત હું અહીં પૂરી કરું છું.

    બસ હવે ઉતાર છે.

    ચઢાણ તો ચડી ગયો, ને મથાળાનો સપાટ પ્રદેશ પણ ઓળંગ્યો.
    હવે તો બસ ઉતાર આરંભાયો છે.
    ’ચઢાણ’ કે ’ઉતાર’ પર મારો અધિકાર નથી.
    સમયની સીડી પરનાં એ સહુ સોપાન છે.

    ચઢાણ અઘરું, આકરું હતું,
    છતાંયે ઝડપભેર હું વટાવી ગયો.
    સપાટ મથાળે પણ ન થંભ્યો,
    ને જિંદગીનાં બે સોપાન શીઘ્ર પછવાડી ગયો.
    પણ હવે ઉતાર છે,
    ….. ને છતાં મારી ગતિ ધીમી થઈ છે.

    વચ્ચે-વચ્ચે અટકીને ચાલું છું.
    અટકું છું તો થાક ખાવા માટે,
    પણ અટકીને આજુબાજુ નીરખું છું.
    ને, અહાહાહા …… કેટલું બધું જોવાનું છે !
    અધસૂકા બાવળીયે હોલાનો માળો છે,
    ડાબે દૂર દેખાતો ગુલમહોર રૂપાળો છે,
    થાક ખાવા બેઠો ’તો એ પથરો પણ સુંવાળો છે,
    શિયાળાની સવારનો તડકો બહુ હૂંફાળો છે.

    આવળના ફૂલ સંગે આંકડાની હાર છે,
    ’આવ આવ’ સાદ દેતી ડુંગરાની ધાર છે,
    કદિ ન’તું કાને ધર્યું, એવું પંખીઓનું ગાન છે’
    શબ્દ એના પકડી લેવા અધીરા મારા કાન છે.

    ઘણાં સાથી છોડી ગયા, પણ દિલ ભરીને યાદ છે.
    ઉતારમાં નિરાંત છે, પણ એની ક્યાં ફરિયાદ છે?
    …… ફરિયાદ બસ આટલી છે –
    ચઢાણની અધીરાઈમાં યે ઘડીક રોકાઈને,
    નીરખી હોત આંખ ભરી, દુનિયા ધરાઈને,
    તો ….

    જોમ હતું અંગે ત્યારે હૈયું છલકાઈને,
    વધાવી હોત જિંદગી, ગીત નવાં ગાઈને!


    હવે પછી …. સરયૂ દિલીપ પરીખ ની મારી સફર…

  • સમરસ ગ્રામ પંચાયત, સમરસતા અને સમાનતા

    નિસબત

    ચંદુ મહેરિયા

    ગુજરાતના જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું સેલરા ગામ. ૫૦૦ આહિરોની વસ્તીના  આ ગામમાં ક્યારેય સરપંચની ચૂંટણી થઈ નથી. ગામના ચોરે લોકો ભેગા થાય છે અને સર્વસંમતિથી સરપંચની પસંદગી કરે છે. હિન્દુ-મુસ્લિમની સમાન વસ્તી ધરાવતા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામે પણ આઝાદી પછી ક્યારેય ગામના સરપંચની ચૂંટણી થઈ નથી. એક ટર્મ હિન્દુ અને બીજી ટર્મ માટે મુસ્લિમ સરપંચની પસંદગી ગામના ૪૮૦૦ મતદારોના પ્રતિનિધિઓ મળીને કરે છે. બનાસકાંઠા જિલ્લાના સૂઈ ગામ તાલુકાના સોનેથ ગામે આ વખતે ગઈ ચૂંટણીના હારેલા ઉમેદવારોના નામની ચિઠ્ઠી ઉપાડીને વગર ચૂંટણીએ સરપંચની પસંદગી કરી છે. મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ચમનપર ગામમાં પણ આઝાદીથી આજ સુધી ક્યારેય ગ્રામપંચાયતની ચૂંટણી થઈ નથી. સમરસ ગ્રામ પંચાયતની યોજના અમલમાં આવી ત્યારથી ચમનપર સમરસ ગ્રામ પંચાયત છે.લોકતંત્રના પાયાના એકમ એવા ગામોની પંચાયતની ચૂંટણીના આ કેટલાક વિશિષ્ઠ ઉદાહરણો છે.

    ૧લી મે ૧૯૬૦ના રોજ ગુજરાતના  અલગ રાજ્યની રચના થઈ હતી. ૧લી એપ્રિલ ૧૯૬૩થી રાજ્યમાં ત્રિસ્તરીય (જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત) પંચાયતી રાજ અમલમાં આવ્યું છે. બંધારણના નિર્માતાઓએ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ રાજકીય પક્ષો અને તેના પ્રતીકો વિના લડાય અને ચૂંટણીના દૂષણોથી તે મુક્ત રહે તેની જોગવાઈ કરી છે. તેમ છતાં રાજકારણનાં દૂષણોથી ગામડાં પર રહી શક્યાં નથી. એટલે ક્યાંક ગ્રામજનોની આપસી સમજથી તો ક્યાંક સરકારની સમરસ ગ્રામ પંચાયત યોજનાથી ચૂંટણીઓ થતી નથી.

    બહુ વાજંબી રીતે સમરસ ગ્રામ પંચાયત યોજનાને નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીકાળની દેણ મનાય છે. પરંતુ ખરેખર તો આ યોજના પ્રથમ વાર ૧૯૯૨માં ચીમનભાઈ પટેલના મુખ્યમંત્રીકાળમાં એક વરસ માટે જાહેર થઈ હતી. જોકે તેનો પધ્ધતિસર અને વ્યવસ્થિત અમલ ૨૦૦૧થી થયો છે.સેવાને બદલે મેવા મેળવવા કે પછી લોકજાગ્રતિમાં વૃધ્ધિને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ તીવ્ર હરીફાઈ થાય છે. પાંચથી પચીસ હજારની વસ્તીના ગામોમાં લોકો એકબીજાને અવારનવાર મળતા હોય છે. એટલે કોણે ચૂંટણીમાં શું ભાગ ભજવ્યો હતો તે બધા જાણે છે. પરિણામે વેરઝેર, અશાંતિ, કુસંપ , મતભેદ, મનભેદ, વૈમનસ્ય, કાવાદાવા, કલેશ, મારામારી, ધાકધમકી,  અણદીઠ હિંસા અને દાદાગીરીની સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિના નિવારણ માટે ચૂંટણી ટાળીને,  વિના વિરોધ,  બિનહરીફ સરપંચ સહિત પંચાયતના તમામ સભ્યોની પસંદગીથી ગ્રામ પંચાયતની રચના થાય તે માટે ૨૦૦૧થી સમરસ ગ્રામ પંચાયતની યોજના અમલી છે. જો સરપંચ અને બધા સભ્યો મહિલા પસંદ થાય તો તે મહિલા સમરસ ગ્રામ પંચાયત બને છે.

    છેલ્લે જૂન ૨૦૨૫માં ૮૩૨૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ હતી. તેમાં ૫૬ મહિલા અને ૭૬૧ સામાન્ય સમરસ ગ્રામ પંચાયતો બની હતી.તે પૂર્વે ૨૦૨૧-૨૨માં ૧૧૮૯ સામાન્ય અને ૧૧૬ મહિલા સમરસ પંચાયતો હતી.  ૨૦૨૫માં ૭૬૧માંથી સૌથી વધુ ૧૦૩ સામાન્ય સમરસ પંચાયતો ભાવનગર જિલ્લામાં જ્યારે ૫૬ મહિલા સમરસ પંચાયતોમાંથી સૌથી વધુ ૯ મહેસાણા જિલ્લામાં રચાઈ હતી. ૨૦૦૧ થી ૨૦૨૩ સુધીમાં સમગ્ર રાજ્યની સામાન્ય સમરસ પંચાયતોની કુલ સંખ્યા ૧૪,૭૨૧ થઈ હતી. અમલના અઢી દાયકે કુલ  મહિલા સમરસ પંચાયતોનો આંકડો ૭૬૮એ પહોંચ્યો છે.

    રાજ્ય સરકાર સમરસ પંચાયતોને ખાસ પુરસ્કાર રાશિ આપે છે. ૧૯૯૨માં માત્ર રૂ.૧,૦૦૦ રોકડ પુરસ્કાર હતો. ૨૦૦૧માં રૂ.૬૦,૦૦૦ થી રૂ.૧,૦૦,૦૦ હતો. જે હવે મહત્તમ રૂ. ૧૨ થી ૧૫ લાખ જેટલો છે. સમરસ પંચાયતની રચના એક કરતાં વધુ વખત થાય તો તે પ્રમાણે પુરસ્કાર રાશિમાં વધારો થાય છે. સરકારની પુરસ્કારની રકમ ગામના વિકાસ કામો માટે ખર્ચ કરવાની હોય છે. સરકારે નક્કી કરેલા વિકાસ કામોમાં જાહેર શૌચાલય, ચોખ્ખું પાણી, દૂષિત અને ગંદા પાણીનો નિકાલ, આરોગ્ય સેવા, આંતરિક એપ્રોચ રોડ, સ્ટ્રીટ લાઈટ, પ્રાથમિક શાળાના ઓરડા, જળ સંચય યોજના અને પંચાયત ઘરનો સમાવેશ થાય છે. આ વિકાસ કામોમાંથી યોગ્ય કામ ગ્રામસભા નક્કી કરે છે.સૌથી મહત્વની બાબત એ છે કે પહેલી વાર સમરસ ગ્રામ પંચાયત બને તે ગામમાં એક થી આઠ ધોરણની શાળાની વ્યવસ્થા સરકાર કરે છે. કમ સે કમ આટલી સગવડ માટે પણ સરકારી પ્રાથમિક શાળાવિહોણા ગામોએ સમરસ પંચાયત રચવી જોઈએ.

    સમરસ પંચાયત યોજનાના સારા અને નરસા બંને પાસાં છે. જો તે ચૂંટણીના દૂષણો અટકાવે છે તો લોકશાહીમાં નાગરિકનો મહત્વનો મતદાનનો અધિકાર છીનવે છે. જે સર્વસંમતિની વાત છે તે વાસ્તવિક છે કે દેખાડો તે વિચારણીય પ્રશ્ન છે. ગામના હિત ધરાવતા તત્વો, સ્થાપિત હિતો કે પ્રભુત્વ ધરાવતા લોકો પંચાયત પર પોતાનું વર્ચસ કાયમ રહે તે માટે સમરસનો ખેલ કરતા હોવાની ટીકા થાય છે. વળી ગામમાં જ્ઞાતિ અને પૈસાનો ભેદ તો તરત દેખાય છે. એટલે રાજકીય નેત્રુત્વમાં દેખાતી સમરસતા સામાજિક સમરસતા તો બનતી જ નથી. સરકારી ઠરાવ ” વિકાસ કામો માટેનું હકારાત્મક વાતાવરણ ઉભું કરવા સમરસ પંચાયતની રચનાનો હેતુ”  હોવાનું જણાવે છે. એટલે વિકાસ કામો માટે ચૂંટણી ટાળવામાં આવે તેવો અર્થ થાય? શું ચૂંટણીઓ વિકાસ માટે અવરોધક છે? જે પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે તે પ્રોત્સાહન છે કે પ્રલોભન ? તેવો પણ સવાલ ઉઠે છે. વળી ત્રણ કે પાંચ લાખ રૂપિયાની રકમ વિકાસ કામો માટે બહુ જ ઓછી ગણી શકાય તેમ પણ અનુભવે જણાય છે. માત્ર રાજકીય નેતાઓ  જ નહીં સરકારી અધિકારીઓ પણ સમરસ ગ્રામ પંચાયતો રચાય તે માટે એડીચોટીનું જોર લગાવે છે. પરંતુ સમરસ ગામોની સંખ્યા વધવાથી સ્થાનિક સ્તરે ચૂંટણી પ્રક્રિયા અને ફલસ્વરૂપ લોકતંત્ર ખતમ થઈ જશે તેની કોઈને ચિંતા નથી.

    Illustration: Yogendra Anand / CSE
              સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    સમરસતા મૂળભૂત રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિચાર છે. સમરસતા સમાનતાનો ભાસ  ઉભો કરે છે. વાસ્તવમાં સમરસતા એટલે કથિત ઉચ્ચ કે પ્રભુત્વ ધરાવતા વર્ણોમાં અન્યનું સમાઈ જવું તે છે. જ્યારે સમાનતાનો ખ્યાલ જુદો છે. સમાનતામાં દરેક એક સરખા હોય છે અને કોઈએ બીજામાં સમાઈ જવાનું નથી..

    ૧૪ એપ્રિલ ૧૯૮૩ના રોજ ફૂલે-આંબેડકર ભૂમિ  મહારાષ્ટ્રમાં ‘ સામાજિક સમરસતા મંચ’ની સ્થાપન થઈ હતી. એ પ્રસંગે સંઘ વિચારક દત્તોપંત ઠેંગડીએ બે પ્રવચનો આપ્યા હતા. આ પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પુસ્તકાકારે પ્રગટ થયો છે. જાણો છો અનુવાદક કોણ હતા? તત્કાલીન સંઘ પ્રચારક અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી.  આ પ્રવચનોનો પ્રધાનસૂર એ હતો કે કેવળ સમરસતાના માર્ગે જ સમતા આવી શકે છે. પરંતુ તે સત્ય નથી. સમરસતાથી સમાનતા શક્ય બનતી નથી તે પચીસ વરસોથી ગુજરાતમાં અમલી સમરસ ગ્રામ પંચાયતોના અનુભવો પરથી કહી શકાય છે. એક રીતે તો સમરસ ગ્રામ પંચાયત યોજના સમરસતાના સંઘ વિચારનું ભારતીય જનતા પક્ષે અમલી કરેલું રાજકીય રૂપ છે.

    વાદ નહીં, વિવાદ નહીં કેવળ સંવાદ એ સમરસ પંચાયતનો મંત્ર છે પરંતુ વર્ણ અને વર્ગમાં આડો અને ઉભો વહેંચાયેલો અને વહેરાયેલો ગુજરાતી અને ભારતીય ગ્રામ સમાજ આભડછેટથી માંડીને અનેક પ્રકારના ભેદભાવો , વાદ-વિવાદથી  ખદબદે છે. તે અંગેનો કોઈ સંવાદ શક્ય  જ નથી. અભ્યાસો જણાવે છે કે જ્યારે ગામમાં મહિલા કે દલિત સરપંચનું પદ અનામત આવે છે ત્યારે જ લોકોને સમરસ પંચાયત  કરવાનું સૂઝે છે. એ રીતે સક્ષમ મહિલાઓ અને દલિતોને  સરપંચ બનતા અટકાવી પોતાના કહ્યાગરા વ્યક્તિઓને આગળ કરાય છે. આખરે આપણું ધ્યેય સમરસ જ નહીં એકરસ એવા સમાન સમાજનું છે. પરંતુ સામાજિક સમાનતા વિનાની રાજકીય સમરસતા અર્થહીન છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કાર્ટૂનકથા (૨૮)

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના  અઠ્ઠાવીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.

    વાર્તાવ્યંગ્ય


    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • એસ ધમ્મો સનંતનો – સનાતન પરંપરાઓનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન – [૨] હિંદુ ધર્મને અગ્રીમ સ્થાન અપાવવાનું અભિયાન

    પ્રવાસી યુ. ધોળકિયા

    સનાતન પરંપરા વિશે જેટલું લખીએ તેટલું ઓછું પડે. આ દીર્ઘ લેખામાળાના સમાપનમાં સનાતન પરંપરાઓનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન તેમને સમજવામાં મદદરૂપ બની શકશે.

    ગતાંકમાં આપણે વૈદિક અને શ્રમણ પરંપરાઓ વિશે વાત કરી હતી. હએ આગળ …..


    શ્રમણ પરંપરાના પ્રભાવનાં અતિક્રમણને ખાળવાના વળતા પ્રહાર રૂપે હિંદુ ધર્મને સનાનત પરંપરાના અગ્રીમ ધર્મ બનાવવા માટે વ્યાસ પરિવારના વંશજો, સુતો અને માગધોએ નેતાગીરી સંભાળી. તેઓએ આ અભિયાનને સફળ બનાવવા નીચે મુજબનાં પગલાં લીધાંઃ

    ૧) ભારતીય સમાજમાં બૌદ્ધ ધર્મની જાતક કથાઓ દ્વારા બોધિસત્વના ચમત્કારપૂર્ણ વ્યાખાનો અને જૈન પરંપરાની મહાન ગાથાઓની સામે રામાયણ અને મહાભારતનું પુનઃસંસ્કરણ કરાયું

    આ સમય ગાળો ઇસ્વીની ત્રીજી સદી પૂર્વેનો અને ઇસવીની બીજી સદીના ૫૦૦ વર્ષનો હતો. રામ અને શ્રીકૃષ્ણને વિષ્ણુના અવતારો રૂપે રજૂ કરાયા. પ્રથમ સ્વયંભૂ મનુથી વૈવસ્ત મનુ સુધીમા થયેલા ૪૫ પ્રજાપતિઓના ઇતિહાસને પુરાણકથાઓનાં નવાં સ્વરૂપોમાં સ્થાન આપવામાં આવ્યું. ભૃગુ, અત્રિ, વિશ્વામિત્ર, વસિષ્ઠ અને અરૂંધતી જેવા ઋષિઓને પણ જીવન કવનમાં વણી લેવામાં આવ્યા.

    સૂર્ય ચંદ્ર વંશના રાજા અમરિષ, હરિશ્ચન્દ્ર, નળ – દમયંતી અને ઉર્વશી, રાજા ભગીરથ, દશરથ, શાંતનુ ગંગા જેવી અનેક વ્યક્તિઓની પ્રૌરાણિક કથાઓને અદ્વિતિય રીતે રજૂ કરવામાં આવી. શ્રમણ પરંપરાનાં કઠિન આદર્શો, ત્યાગ, તપ અને નિર્વાણ જેવાં જીવનને નકારતાં પરિબળોની જગ્યાએ યોગમાર્ગ જેવી સકારાત્મક જીવન જીવવાની અદ્‍ભૂત પદ્ધતિઓ વિકસાવાઈ.

    શ્રમણ પરંપરાએ સ્તૂપો, ચૈત્યો, વિહારો અને ગૂફા સ્થાપત્યોથી ભારતભૂમિને સંપૂર્ણપણે આચ્છાદિત કરી દીધી હતી. તેને સામે પ્રથમ તો હિંદુ ઉદ્ધારકોએ યજ્ઞોની વેદીઓનૉ બદલે મંદિરો, પ્રાસાદો અને અજંત ઈલોરામાં પણ પોતાના ગૂફાસ્થાપત્યો કાયમ કર્યાં. આપણી મંદિર પરંપરા માટે ખાસ કામિકા આગમ અને અનેક વિષ્ણુ આગમોની રચના કરવામાં આવી. તેમાં મૂર્તિકળા, મદિરમાં મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાને સમજાવાયાં. સ્તૂપોની સામે શિવલિંગો બાંધવામાં આવ્યાં. એટલે બૌદ્ધોનો આપણા સામેનો આક્ષેપ છે કે હિંદુઓએ અમારા પર છૂપો પ્રહાર કર્યો છે.

    એ લોકોનું  એમ પણ કહેવું છે કે હિંદુઓ મુસ્લિમો દ્વારા ધ્વસ્ત થયેલ મંદિઓ પર પોતાના હક્ક માગે છે ત્યારે તેમાંના કેટલાક ધાર્મિક સ્થાપત્યો પર બૌદ્ધોના હક્કનો પણ સ્વીકાર થવો જોઈએ. વળી, હિંદુઓએ જ્યારે મંદિરો બાંધ્યાં ત્યારે એ મંદિરો પર પ્રાચીન ઇજિપ્ત, સુમર, બેબિલોન અને પર્શિયાના સ્થાપત્યોની પણ અસર વર્તાય છે.

    ૨) હિંદુ પરંપરાએ બીજું પગલું ઈં-દ્ર, અગ્નિ,સોમ, સિનીવાલી અને કુહુ જેવા વૈદિક કાળમાં પુજાતા દેવોને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્ય અને આદ્યાશક્તિ એવાં પંચદેવોને સ્થાન આપ્યું. પછીથી બ્રહ્માનું સ્થાન ગૌણ બન્યું અને ગણપતિને સ્થાન મળ્યું. હનુમાનજી અને નવગ્રહો પણ ભારતીય પ્રજાના મૂળ દેવો બનવા લાગ્યા. તેમનાં મંદિરો બંધાયાં ઉપરાંત તેમનાં નામો મંત્રોમાં પણ આરાધ્ય ગણાવા લાગ્યાં. આદ્યાશક્તિનાં ૫૧ શક્તિપીઠો સામે બૌદ્ધોના ચોર્યાસી હજાર સ્મારકો હવે નિર્જીવ ભાસવા લાગ્યાંંઆતાજીના સ્વરૂપોમાં દુર્ગા, મહાકાળી અને દસ મહાવિદ્યાઓમાં આ શક્તિપ્પીઠોનો સમાવેશ થયો. અહીં તેઓની સ્થાપના યંત્રોનાં રૂપે કરવામાં આવી. મહામંત્રોની સાથે આ આદ્યાશક્તિના બીજમંત્રોનો પણ હવે વિકસી રહેલા હિંદુ સમાજે સ્વીકાર કર્યો.

    ૩) બૌદ્ધ ધર્મના વજ્રયાન તંત્રનો પ્રતિકાર કરવા માટે શિવ-શક્તિ અને વિષ્ણુ-લક્ષ્મીના તંત્રોનું પુનઃલેખન કરવામાં આવ્યું. ઉદાહરણ તરીકે, ભૈરવનિર્વાણ તંત્રની રચના કરવામાં આવી. તેમાં શિવના મુખેથી પાર્વતીને જુદી જુદી ૧૧૨ તાંત્રિક વિધિઓની સમજ આપવામાં આવી. પરિણામે, વજ્રયાન તંત્રને આપણી પ્રજાએ જાકારો આપ્યો. પરંતુ આ પ્રક્રિયામાં આપણે બે ધુરંધર બૌદ્ધ ગુરુઓને ગુમાવવા પડ્યા. તેનો ફાયદો ચીન, જાપાન, કોરિયા અને મધ્ય એશિયાના દેશોને થયો.

    તાંત્રિક ગુરુઓ પૈકી પહેલા ધર્મસંભવ ચીન ગયા. ત્યાં તેમણે ચેન તાઈ ચી ધ્યાન પદ્ધતિ વિકસાવી, જેને જાપાને ઝેન તરીકે રજૂ કરી. ધર્મસંભવે ચીનના લોકોમાં ધાર્મિક કરતાં વ્યવાહારિક વૃતિ જોઇને કરાટે જેવી લડાયક કળાઓ દ્વારા શારીરિક અને માનસિક રીતે કુશળ બૌદ્ધ ભિક્ષુઓને તૈયાર કર્યા.

    ચીનમાં કન્ફ્યુશિયસ નામના મહાન આચાર્ય થઈ ગયા. સામાજિક અને ધાર્મિક વ્યવસ્થા કઈ રીતે ચીની પ્રજાનું ભલું કરી શકે તે માટે તેમણે સરળ સિદ્ધાંતો આપ્યા. અતિશય ધર્મવાદને બદલે ચીની પ્રજાને ઉદ્યોગો અને જીવનોપયોગી કાર્યોમાં કૌશલ્ય મળ્યું. તે માટે અનેક માર્ગો સૂચવીને તેમણે પ્રજાને તૈયાર કરી.. ધર્મસંભવે ચીની પ્રજાની આ કાર્યકુશળતામાં વધારો થાય તે માટે તેમાં નવા સિદ્ધાંતો આપી પ્રાણ પૂર્યા. ચીનની સંસ્કૃતિના પ્રભાવ હેઠળ જાપાન, કોરિયા અને તાઈવાનની પ્રજાઓ પણ હતી. તેથી ૧૮મી અને ૧૯મી સદીમાં યુરોપની પ્રજાઓએ પોતાની સાયન્સ અને ટેક્નૉલોજી આધારિત ઔદ્યોગિક પરંપરાને લઈને આ ચાર દેશો પર આધિપત્ય જમાવ્યું. આ દેશોએ તેના પ્રત્યુત્તરમાં પોતાની કાર્યકુશળતાના બળે પશ્ચિમના જ્ઞાન વિજ્ઞાન અને ઔદ્યોગિક પાસાંને આત્મસાત કર્યાં. પરિણામે ૨૦મી અને ૨૧મી સદીમાં, પહેલાં જાપાને, અને હવે કોરિયા અને ચીને, પશ્ચિમને પડકાર ફેંક્યો છે.  આજે ચીન ઔદ્યોગિક અને નાણાકીય સ્તરે બીજા ક્રમની વૈશ્વિક મહાસતા બની ગઈ છે. આપણે જોઈ શકીએ છીએ કે આના પાયામાં ધર્મસંભવે પ્રાચીન સમયમાં ચીનનો જે ઉદ્ધાર કર્યો તેનો ફાળો વિશેષ છે.

    બીજા બૌદ્ધિક તાંત્રિક પદ્મસંભવ હતા. હિંદુ ધર્મના પ્રતિકારનો પડકાર ઝીલવાને બદલે તેમણે વજ્ર્યાન તંત્રમાર્ગને વિદેશમાં પઈ જવાનું પસંદ કર્યું. આનો સીધો લાભ તિબેટને મળ્યો. તિબેટમાં એ સમયે કાળા જાદુ અને પ્રેતવિદ્યા આધારિત બોન ધર્મ વિદ્યમાન હતો. પદ્મસંભવે બૌદ્ધ ધર્મનાં સારાં પાસાંઓ પર ભાર મુકીને તિબેટના વજ્રયાન તંત્રને પ્રસ્થાપિત કર્યું. તેની નેતાગીરી લામાઓને સોંપવામાં આવી. ઇ. સ. ૧૯૫૦માં ચીને જ્યારે તિબેટ પર આક્રમણ કર્યું ત્યારે ઘણા તિબેટીઓ તાંત્રિક સાધુઓ હતા. એ લોકો પહેલાં ભારતમાં અને પછી અમેરિકા અને યુરોપમાં સ્થાયી થયા. વિદેશમાં આજે જે બૌદ્ધ પરંપરા વિકસી રહી છે તેનું શ્રેય પદ્મસંભવને જાય છે.

    ૪) અત્યાર સુધી ભારતીય સમાજ માટે ધર્મસૂત્રો અને મનુસ્મૃતિ જેવા ગ્રંથો લખાયા હતા. આ ગ્રંથોમાં ભારતીય સમાજના જીવન વ્યવહાર પર એટલાં બધાં બંધનો હતાં કે આખી સમાજવ્યવસ્થા જ ખોરવાઈ ગઈ. હિંદુ ધર્મના સુધારકોએ હવે આ નિયમોને વધારે વ્યાવહારિક બનાવતા ‘નિર્ણયસાગર’ અને ‘નિર્ણયસિંધુ’ ની રચના કરી. જે વર્ણસંકર પ્રજા હતી તેને પણ હિંદુ સમાજમાં સ્થાન આપવામાં આવ્યું.

    ૫) બૌદ્ધ પરંપરાના શુન્યવાદ અને જૈન પરંપરાના ક્ષણભંગુરવાદને પડકાર આપવા દક્ષિણ ભારતના આચાર્યોમાં સંકરાચાર્ય, રામાનુજ, માધવાચાર્ય અને નિંબાર્ક હતા. આ મહાજ્ઞાનીઓએ વેદાંતને ફરીથી ઉચ્ચ સ્થાન આપ્યું. આપણને, તેમજ વિશ્વને. અદ્વૈતવાદ, દ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ અને અચિંત્યાભેદવાદના સિદ્ધાંતોની ભેટ મળી. આ પ્રકાંડ તત્વજ્ઞાન પરંપરાએ શ્રમણવાદના તત્વજ્ઞાનનો સંપૂર્ણ પરાજય કર્યો.

    ૬) મહાયાન બૌદ્ધ પરંપરામાં અને જૈન પરંપરામાં મૂર્તિ પૂજા અને તેની ભક્તિનો પ્રારંભ થયો હતો. એટલે તેનો પ્રતિકાર કરવા માટે હિંદુઓએ નારદ ભક્તિસૂત્ર અને શાંડિલ્ય ભક્તિસૂત્રને નવું સ્વરૂપ આપ્યું. પુરાણ ગ્રંથોમાં પણ શિવ, શક્તિ, વિષ્ણુ, સૂર્ય અને અન્ય અનેક દેવીઓની પૂજા-અર્ચના વિધિમાં પુનઃપ્રવેશ કરાવવામાં આવ્યો.દક્ષિણ ભારતના નયનાર અને આલ્વાર સંતોએ શિવ અને વિષ્ણુના અનેક ભજન-કિર્તન તેમની ભાષામાં લખ્યાં. સમગ્ર દક્ષિણ ભારતમાં આ બે દેવો અને પાર્વતીનાં અનેક મંદિરો બંધાયાં.

    દક્ષિણ ભારતના વલ્લભાચાર્યે ઉત્તર ભારતમાં પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણનાં ૮૪ પીઠો સ્થાપ્યાં. આ પહેલાં દક્ષિણ ભારતના ભક્તિ માર્ગની અસર ઉત્તર ભારત પર થઈ હતી. તેમાં રામાનંદ સંતે આ ક્રાંતિનો સૂત્રપાત કર્યો. કબીર અને નાનકના તેઓ ગુરુ હતા. આ બન્નેએ ઈશ્વરની નિરંકાર સ્વરૂપે પૂજા-અર્ચના કરી. અનેક ભજન અને અરદાસ દ્વારા તેઓએ ફક્ત એક જ નિરંકારી પરમ સત્તાનાં ગુણગાન ગાયાં. અન્ય સંતોના દેવો આકાર સ્વરૂપે જ હતા. સંત તુલસીદાસે રામનાં ચરિત્રને આપણી સમક્ષ  ભગવાન સ્વરૂપે મુક્યું. ચૈતન્ય મહાપ્રભુ, સુરદાસ, નરસિંહ મહેતા અને મીરાબાઈના આરાધ્ય દેવ શ્રીકૃષ્ણ હતા. આ સંતોએ અદ્‍ભૂત ભજનો અને કિર્તનો દ્વારા શ્રીકૃષ્ણની લીલા આપણને આપી ન્યાલ કરી દીધાં. ઓડિસાના પંચસખાઓએ ભગવાન જગન્નાથની ભક્તિને શીખરે પહોંચાડી. આ બધાંને પરિણામે આજે હિંદુ પરંપરામાં ફક્ત ભક્તિ માર્ગ અગ્રસ્થાન ભોગવે છે.

    ૭) આ બધું કરવાની સાથે સાથે, શ્રમણ પરંપરાને પરાસ્ત કરવાના અભિયાનમાં હિંદુ ધર્મના પુનરુદ્ધારકોએ કેટલીક બાંધછોડ કરવી પડી. ભારતમાં પહેલાં દરેક માટે ધર્મ, અર્થ અને કામ એમ ત્રણ પુરુષાર્થો હતા. શ્રમણ પરંપરાના સંસારત્યાગ અને નિર્વાણની વિચારધારાઓને ધ્યાનમાં લઈને હિંદુઓ માટે હવે ચોથો પુરુષાર્થ મોક્ષ (સંન્યાસ) બન્યો. કર્મવાદ, પૂર્વજન્મ અને પુનઃજન્મના સિદ્ધાંતોને પણ પ્રાધાન્ય આપવું પડ્યું. આમ હિંદુ ધર્મે શ્રમણ પરંપરાના નિવૃતિ માર્ગના સિદ્ધાંતો સ્વીકાર્યા. પરિણામે. ભારતીય સમાજમાં કોઈ કાર્ય કરવાની પ્રેરણા ન રહી.

    ધર્મનો અતિરેક થવાથી વિશ્વકર્મામાં માનનારા આપણા લુહાર, સુતાર, ચર્મકાર, નાઈ જેવા  ઉત્તમ કારીગરોને સમાજે પછાત ગણવા માંડ્યા. તેનું લાંબા ગાળાનું પરિણામ એ આવ્યું કે પશ્ચિમના વિજ્ઞાન, ટેક્નૉલોજી અને ઔદ્યોગિક કૌશલ્યના વિકાસને આપણે સ્વીકારી ન શક્યાં અને પાછળ રહી ગયાં. આઝાદી પછી ઉચ્ચ તકનીકી અને વિજ્ઞાનની આઈ આઈ ટી, આઈ આઈ એમ અને એવી અન્ય શિક્ષણ સંસ્થાઓના આયોજનપૂર્વક કરાયેલા વિકાસને કારણે નારાયણ મૂર્તિ, નંદન નિલકેણી, સત્યમ નડેલા, સુંધર પિછાઈ,  જેવા ડીજિટલ ટેક્નોલોજીના કે અવકાશ વિજ્ઞાનમાં નોંધપાત્ર યોગદાન કરી રહેલા અનેક વૈજ્ઞાનિકો કે ડૉ. સિદ્ધાર્થ મુખર્જી,  ડૉ. અતુલ ગવાન્ડે જેવા આધુનિક તબીબી વિજ્ઞાનનાં ખ્યાત વ્યક્તિત્વોની એક નવી પેઢી ભારતીય સમાજની પરંપરાગત છબીની કાયાપલટ કરી રહી છે.


    હવે પછીના મણકામાં લેખમાળામાં ઐતિહાસિક મૂલ્યાંકનના સંદર્ભમા હિંદુ ધર્મની વર્તમાન સ્થિતિનાં આલેખન વિશે વાત કરીશું.


    શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક

    તવારીખની તેજછાયા

    સાંદર્ભિક તસવીર: નેટ પરથી

    પ્રકાશ ન. શાહ

    અગિયારમી ફેબ્રુઆરીએ દીનદયાલ ઉપાધ્યાય વિશે લખતાં કેમ કે ૩૦ જાન્યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી એ ગાંધી શ્રાદ્ધ પર્વ છે, કદાચ એક ઉલ્લેખ કરવો જોઈતો હતો. ૧૯૬૮માં એ ગયા તે પછી જે સ્મૃતિગ્રંથ પ્રગટ થયો એમાં એક જનસંઘ સાંસદે (ઘણું કરીને નરેન્દ્ર શર્માએ) એક સ્મરણ ચહીને ટાંક્યું હતું: મેં (શર્માએ) એમને એક વાર કહ્યું કે આપણે આધુનિક ભારત અને ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં વાત કરીએ છીએ, પણ એમાં એક પ્રેરણાપુરુષ તરીકે ગાંધીજીનો ખાસ ઉલ્લેખ નથી કરતા એથી ગલત સંદેશ જાય છે. શર્માએ લખ્યું હતું કે તે પછી દીનદયાલે ‘ઓર્ગેનાઈઝર’/’પાંચજન્ય’માં ખાસ લેખ વાહે ગાંધીજીને વિશેષ રૂપે સંભાર્યા હતા. સંઘ પરિવાર સહિતનો એક વર્ગ આપણે ત્યાં છે જેને ચોક્કસ જ ગાંધીહત્યા ટીકાપાત્ર જણાય છે, પણ એક અંત:સરવાણી ગાંધીવધની અનુમોદનાની છે.

    આ ઉલ્લેખને જોગાનુજોગ શ્રાદ્ધ પર્વ આસપાસ જ કંઈક વળ ને આમળા ચઢે, કંઈક તપાસધક્કો લાગે એવો ઘટનાક્રમ સરજાયો છે. ‘હું નથુરામ’ નાટક રાજકોટ-અમદાવાદમાં પડાકારાયું છે, તો બીજી બાજુ અશોકકુમાર પાંડેયના પુસ્તક આધારિત વાચિકમ્ અમદાવાદ-વડોદરા-સુરતમાં પ્રસ્તુત થયું છે જે ગોડસેની કથિત સ્થાપનાને પડકારે છે. જોકે, એક વિગત આ સંદર્ભમાં સંભારવી જોઈએ કે સુરતમાં આ પૂર્વે પોલીસ દરમ્યાનગીરીથી પ્રસ્તુત ‘વાચિકમ્’ અટકાવાયું હતું. રાજકોટમાં કોંગ્રેસના જોકે શાંતિમય નહીં એવા પ્રતિકારથી ‘હું નથુરામ’ અટક્યું અને સુરતમાં પેલું ‘વાચિકમ્’ પોલીસ દરમ્યાનગીરીથી ન થઈ શક્યું, આ બે બીના વચ્ચેનો ભેદ કોઈને પણ સમજાય એવો છે. વિરોધ શાંતિમય હોવો જોઈએ એમ કહેવું બેશક બિલકુલ દુરસ્ત છે. માત્ર, આ વિધાન કરતી વેળાએ સંતુલવિવેક સરખો એ એક મુદ્દો ખયાલમાં રહેવો જોઈએ કે સરકાર અને સત્તા પક્ષ આવે વખતે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ પણ કાયદાના શાસનથી ઉફરાટે ચોક્કસ બાજુને સાચવી લે છે.

    જ્યાં સુધી ‘હું નથુરામ’નો સવાલ છે, એ ગોડસેની અદાલતી કેફિયત પર બહુધા ચાલે છે. સંઘ શતાબ્દીએ પહોંચ્યો અને ભાજપ સંખ્યાબંધ રાજ્યો સહિત કેન્દ્રમાં સત્તા સ્થાને પહોંચ્યો એ વર્ષો, ખાસ કરીને છેલ્લો દસકો, આ કેફિયત બાબતે ચાહક વર્ગને ખુલ્લાણમાં આણનાર રહ્યો છે. અર્ધ પરિભાષિતપણે કેમ ન હોય, કંઈક સૈંયા ભયે કોતવાલ શો કિસ્સો આ છે. બીજી બાજુ, આ જ દિવસોમાં ગુજરાતીમાં તુષાર ગાંધી અને ધીરેન્દ્ર ઝાનાં જે પુસ્તકો સુલભ થયાં છે તે ગોડસેની અદાલતી કેફિયત અને ૩૦મી જાન્યુઆરીએ ધરપકડ બાદનું એનું પોલીસ નિવેદન, બે વચ્ચેનું અંતર (અને એથી ગોડસેની- જો નરમ શબ્દોમાં કહીએ તો – અંચઈ) સાફ કરી આપે છે. ગોડસે કેસમાં આખરી ચુકાદો આપનાર ન્યાયમૂર્તિએ કહ્યું છે કે એની કેફિયત એ હદે અસરકારક હતી કે જો અદાલતમાં હાજર રહેલાઓને જ્યુરી લેખી એનો કેસ સોંપવામાં આવ્યો હોત તો તે છૂટી ગયો હોત.

    ન્યાયમૂર્તિએ આ વિધાન કોઈ સત્યબોધની રીતે નથી કર્યું. એમણે તો ભલે ને તથ્ય નિરપેક્ષપણે કરાયેલ પણ એક દમદાર રજૂઆત તરીકે આ વાત કરી હતી. વસ્તુત: ‘હિંદુ’ અગર તો આજકાલ વપરાતા ‘સનાતન’ના છેડેથી જોઈએ તો ગોડસેની કેફિયતમાં પાકિસ્તાનને પંચાવન કરોડ આપ્યાથી ગાંધીવધ અનિવાર્ય લાગ્યાની વાત બંધબેસતી નથી, અગર તો હિમદુર્ગનું એક દશાંશમું ટોચકું માંડ છે. સ્વરાજમાં બે-ત્રણ વરસ પર ગાંધીજી મહાબળેશ્વરમાં હતા અને એમના પર ગોડસે સહિતના લોકોએ હુમલો કર્યો ત્યારે આ કોઈ મુદ્દો ક્યાં હતો? ૧૯૩૪ની હરિજન યાત્રા વખતે ગાંધીજી પર હુમલાની કોશિશ થઈ ત્યારે આ મુદ્દો ક્યાં હતો? આ બધા હુમલાના સિલસિલા પાછળની માનસિકતા બે ધાગે કળી કરતી માલૂમ પડે છે. એક તો, આપણે બ્રિટિશન શાહીવાદ સામે લડવાનું છે કે એથી વધુ બલકે એકમાત્ર ‘શત્રુબોધ’ મુસ્લિમમાં શોધી એની સામે લડવાનું છે,

    એવી દ્વિધાગ્રસ્તતા- અને, બીજું, હિંદુ એલિટિઝમ અગર સવર્ણવાદના કોચલાની બહાર નીકળી દલિત વંચિત સૌને અપનાવવાની ભૂમિકા અંગે હાડમાં ઝમેલો ને જામેલો ખટકો, આ બે વાનાં લક્ષમાં લઈએ તો સમજાશે કે કોઈ હિંદુ રિનેસાંસની આશા કેમ ઓછી અને પાછી પડે છે. ગોડસે પરિવારના જ ગોપાલ ગોડસેને પણ એકંદર ચર્ચા સંદર્ભે યાદ કરવાપણું લાગે છે. ૧૯૬૪-૬૫માં એ છૂટ્યા અને એમણે પોતાને છેડેથી આખી દાસ્તાં લખી, ‘ગાંધીહત્યા આણિ મીં.’ અગાઉ અહીં કહેવાનું બન્યું છે તેમ બીજી બાબતો ઉપરાંત એની એક નોંધપાત્ર વાત, અમે અમારી જુબાનીમાં સંઘ અને તાત્યારાવ (સાવરકર)ને બચાવી લીધા તે છે.

    ગોપાલ ગોડસેનું આ પુસ્તક પ્રકાશિત કરતી વેળાએ પ્રકાશકના આગ્રહથી સુપ્રતિષ્ઠ મરાઠી બૌદ્ધિક નરહર કુરુંદકરે કશી કાપકૂપ વગર છાપવાની શરતે પ્રસ્તાવના લખી હતી. એમાં ગોપાલ ગોડસેની, ગાંધીહત્યાને એક અનિષ્ટ તત્ત્વના વધ તરીકે અને હત્યારા નથુરામને હુતાત્મા તરીકે રજૂ કરવાની મુરાદને એક એક મુદ્દાની અસરકારક છણાવટ વાટે ધ્વસ્ત કરી હતી. દેખીતી રીતે જ પછીની આવૃત્તિમાં એ પ્રસ્તાવના પડતી મૂકાઈ હતી. આ પ્રસ્તાવનાનો સંક્ષિપ્ત ગુજરાતી અનુવાદ સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટે ૧૯૯૯માં પ્રગટ કર્યો હતો જે ફેરરમતો કરવાલાયક છે. મ‘હું નથુરામ’નો વિરોધ તર્કબદ્ધ ઈતિહાસવિગત સાથે પ્રગટપણે જરૂરી કરી શકાય. માત્ર ગોડસે વિધાનમાં રહેલી તોડમરોડ સામે તોડફોડ એ રસ્તો નથી. સવાલ એ પણ છે કે ‘હું નથુરામ’ પાછળનાં તત્ત્વો ને પરિબળો કાયદાના શાસનમાં નથી માનતાં એવું તો નથી ને.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૦-૨-૨૦૨૬ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • વ્યંગ્ય મુક્તકો

    (૧)

    દૂરથી જ્યારે જતું કોઈ યુગલ જોઉં છું
    થાય છે શંકા, બરાબર મુજને દેખાતું નથી.

    વાળની સરખી લટો ને ચાલ પણ સરખી રહી
    કોણ નર છે કોણ નારી, એ જ સમજાતું નથી.

    નાઝ માંગરોલી

    (૨)

    આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ
    ચાહી અમે નો’તી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ
    માર્યા – પછી બાળ્યા – પછી દાટ્યા – પછી ફૂલો ધર્યા
    ચાલો થયું તે થઈ ગયું સુંદર સમાધિ થઈ ગઈ

    શેખાદમ આબુવાલા

    (૩)

    આદમને આવ્યું સ્વપ્ન એવું: ગોડસે રડતો હતો
    રડતો હતો ને મનમહીં એ કૈંક બબડતો હતો
    નજદીક જઈને ધ્યાન આપી સાંભળ્યું તો છક થયો
    કહેતો હતો: હે રામ! ગાંધી ક્યાં મને નડતો હતો?

    શેખાદમ આબુવાલા

    (૪)

    ગણિતમાં ગરબડ ઘણી, ભાષા મત ખંખોળ,
    ભૂગોળમાં ફરતું દીસે, જગ આખુંએ ગોળ,
    યુદ્ધ ઘણાં ઇતિહાસમાં, મનમાં કાગારોળ,
    હીંડે ક્યમ ભણતર તણું ગાડું ડામાડોળ.

    નિર્મિશ ઠાકર

  • એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૬ ઠું. : દાનવને ચરણે રક્તની ભેટ.

    પ્રકરણ ૫ મું. : તૈયારીની તક ગુમાવી થી આગળ

    ઝવેરચંદ મેઘાણી

    ૧૯૦૫ ના નવેમ્બરની એક પ્રભાતે જગવિખ્યાત જાપાની અધિકારી ઈટો કોરીયાને કાંઠે ઉતયો, અને તેણે રાજાના હાથમાં એક કાગળીઓ મૂક્યો, મૂકીને કહ્યું કે “સહી કરો.”

    કાગળીયામાં શું હતું ?

    નીચે પ્રમાણે નવા કરારો હતા:—

    કોરીયાના પરદેશી સંબંધો જાપાની પરદેશ ખાતાને હસ્તક રહેશે, કોરીયાના એલચી તરીકે જાપાનીઓ પરદેશમાં નીમાશે; કોરીયામાં જાપાની રેસીડેન્ટો બંદરે બંદરે બેસી જશે; બેશરમ જાપાનની છેલ્લી કલમ એ હતી કે “કોરીયાના રાજ્યકુટુંબનું માન તેમજ સલામતી જાળવવા જાપાન ખોળાધરી આપે છે !”

    રાજા તો તાજ્જુબ જ બની ગયો. એણે જણાવ્યું કે “અમારી સ્વતંત્રતા રક્ષવાનાં આ તમારાં વચનો કે ?”

    ઈટોએ ઉત્તર વાળ્યો કે “હું તો ચિઠ્ઠીનો ચાકર છું . કબુલ કરી લેશો તો પૂર્વની શાંતિ સચવાઈ રહેશે. જલદી જવાબ આપો.”

    રાજા — “પ્રધાનો અને પ્રજાજનોની સંમતિ વિના મ્હારાથી કંઈ ન કહેવાય.”

    ઇટો — “બે રાજ્યોની દોસ્તી તૂટવાનું જોખમ હોય ત્યાં એવાં બ્હાનાં ન ચાલે.”

    રાજા — “મ્હારા દેશનો વિનાશ નહિ કરાવું, ઝેર ખાઈને મરીશ, પણ સહી નહિ કરૂં.”

    પાંચ કલાકની માથાફોડ પાણીમાં ગઇ. ઈટોની આંખના ખુણા લાલચોળ થયા. એ આંખોમાં જાપાની બંદુકો ને તોપો દેખાણી. રાજા ડગ્યો નહિ.

    ઈટો પહોંચ્યો પ્રધાનોની પાસે. પશ્ચિમની નિશાળે બરાબર ભણેલો એ અધિકારી સમજાવે છે કે “જુઓ ભાઈઓ, પીળા રંગની બે પ્રજાઓ જો દોસ્તીમાં જોડાય તો આપણે એશિયાને ગોરી પ્રજાના મ્હોમાંથી બચાવી શકશું. અમારે કાંઈ બીજો સ્વાર્થ નથી.”

    પ્રધાનોએ ડોકાં ધુણાવ્યાં ઈટો કહે કે “જાન લઇશ. માની જાઓ તો ખીસાં ભરી દઈશ.” પ્રધાનો અડગ રહ્યા.

    ઈટાએ જાપાની લશ્કરને સાદ કર્યો. શેરીઓમાં તોપો મંડાણી. સરકારી અદાલતો ને રાજમહેલની ચોપાસ જાપાની સંગીતો ઝબુકી ઉઠ્યાં. રાજાને યાદ આવી ૧૮૯૫ ની પેલી ભયાનક રાત્રી, જે રાત્રીના અંધકારમાં જાપાને કોરીયાની બહાદુર રાણીનું લોહી રેડેલું. રાજાનું તેમજ પ્રધાનોનાં કાળજાં ફફડી ઉઠ્યાં.

    જાપાની તોપો બંદુકોથી ઘેરાયેલા એ મહેલની અંદર રાત્રીએ પ્રધાન મંડળ મળ્યું. જાપાની તલવારોના ખણખણાટ પ્રધાનોની બેઠકમાં સંભળાતા હતા. ત્યાં તો જાપાની સેનાપતિની સાથે ઈટો આવી પહોંચ્યો. એણે રાજાજીની સાથે એકાંત મુલાકાતની માગણી કરી. જવાબ મળ્યો કે “નહિ બને.”

    પ્રધાન મંડળની સાથે ઇટોને રકઝક ચાલી. કોપ કરીને જાપાની હાકેમ બોલ્યો કે “કબૂલ કરીને ખીસાં ભરી લ્યો, નહિ તો ના પાડીને ડોકાં નમાવો.”

    જાપાની સેનાપતિએ તલવાર ખેંચી. કારીયાનો બહાદુર મુખ્ય પ્રધાન બોલ્યો કે “સુખેથી, હિમ્મત હોય તો માથાં ઉડાવી દયો.”

    “જોવું છે ?” એમ બોલીને સેનાપતિ વડા પ્રધાનનો હાથ ઝાલી, બીજા ખંડમાં ઘસડી ગયો.

    બાકીના પ્રધાનોના મનમાં થયું કે આપણાં માથાં ઉડવાનો પણ હમણાંજ વારો આવી પહોંચશે. આપણી વારે ધાવા કોઈ પરદેશી પ્રતિનિધિ નથી આવ્યો. કોઇ આવવાનું પણ નથી. મરવાથી કાંઈ વળવાનું નથી. એમ સમજીને આખી રાતની એ રકઝકને અંતે પ્રધાનોએ કરારનામા પર સહી કરી. અડગ રહ્યા બે જણા–એક રાજા અને બીજો મુખ્ય પ્રધાન.

    કોરીઆની અંદર આંગણે આંગણે આક્રંદ ચાલ્યું. ઈજ્જતદાર પ્રજાજનો, મોટા અમલદારો, અને એક વખતનો યુદ્ધ ખાતાનો વૃદ્ધ સચીવ રાજા પાસે જઈને આજીજી કરવા લાગ્યા કે “કરારનામું રદ કરો.”

    આંસુભરી આંખે રાજા કહે “મેં સહી નથી કરી. પણ એ રદ કરવાની તો મ્હારી તાકાત નથી.”

    અરજદારો પાછા ગયા,ને ઘેર જઈ રાત્રીએ આપઘાત કરી મુવા.

    રાજ મહેલને બારણે બેસી લાંઘણો ખેંચવી ને આખરે ઘેર જઈ જીવ કાઢી નાંખવો, એ કારીયાવાસીઓનો સત્યાગ્રહ.

    રાજા તો રઘવાયો બન્યો હતો. પારકાની દયા ઉપર જીવનારને બીજુ શું સૂઝે ? એણે અમેરિકાના પ્રમુખ પાસે ૧૮૮૨ ની સંધિ યાદ દેવા એલચી મોકલ્યો. અમેરીકાધિપતિએ ઉત્તર દીધો, “હું નહિ મળી શકું.”

    એશિયાના હૈયામાંથી આ વાત જુગ–જુગાન્તર સુધી નહિ ભૂંસાય. એક શરણાગત દેશની કથની સાંભળવા માટે અમેરિકાના હાકેમ પાસે પાંચ પળની પણ ફુરસદ નહોતી ! અને પેલો ૧૮૭ર નો પુરાણો કોલ ! “હા, હા,” અમેરિકાના હાકેમે પાછળથી ઉચ્ચારેલું, “સંધિ મુજબ તો કોરીઆની સ્વતંત્રતા રક્ષવી જોઇએ પરંતુ, શું એટલી પણ અક્કલ નથી કોરીયાને, કે પોતેજ લમણે હાથ દઇને બેસે ત્યાં પારકી પ્રજા આવીને શું કરી દેવાની હતી ?”

    અમેરિકાએ ઈશ્વર–સાક્ષીએ આપેલો આ કોલ ! એશિયાના ગુલામોને કપાળે આવા પ્રહારો ન પડે તો બીજું શું ?

    અને પરદુઃખ ભંજન ઈંગ્લાંડ કાં ન ધાયું ? રે ! એને તો ઘણીયે ગણતરીઓ કરવાની હતી, જર્મની સામે ટક્કર ઝીલવા માટે એને ઉત્તર સમુદ્રમાં કાફલો રાખવો હતો, પૂર્વની ભૂમિમાં પોતાનાં વેપાર વાણિજ્ય તેમજ મુલ્કો સુરક્ષિત રાખવા હતાં, ને હિન્દુસ્થાન સામે ટાંપી બેઠેલા રૂશીઅન રીંછને આગળ વધતું અટકાવવું હતું ! શી રીતે ઈંગ્લાંડ પોતાના એ પરમ ઉપયોગી મિત્રને માઠું લગાડવા જાય ! ઈંગ્લાંડની આંગળી ઊંચી થવાની સાથે તો પેલા કાફલાને જાપાન દરીયાને તળીએ પહોંચાડી દે, વેપારનાં વ્હાણો પાછાં વાળે, અને પેલા રીંછને ભારતવર્ષની લીલી ભૂમિ ઉપર છૂટું મેલી દે. રે ! ઈંગ્લાંડે તો જાપાનને રાજી ખુશીથી લખી આપ્યું કે, “કોરીયાની અંદર, તમે રાજ્યદ્વારી, લશ્કરી અને આર્થિક હિત પ્રથમ દરજ્જે ધરાવો છો, એ અમારે મજુર છે !?”

    ૧૯૦૫ ના તહનામા ઉપર રાજાએ સહી કરી જ નહિ. પોતાના રાજમહેલમાં એ આજ કેદી બન્યો હતો. એના મનમાં ઉદ્‌ગાર ઉઠ્યો, “જરૂર, કોઇક પ્રજા તો મારી વારે ધાશે. શું કોઈ નહિ આવે ?”

    ૧૯૦૭ ની હેગ કોન્ફરન્સમાં એણે એલચી મોકલ્યો. એની વાત સાંભળવાની જ કોન્ફરન્સે ના પાડી !

    જાપાને પાદશાહને પદભ્રષ્ટ કર્યો. યુવરાજને પૂતળું બનાવી સિંહાસને બેસાડ્યો.

    ધારાસભામાં સર્વોપરી સત્તાધારી જાપાની રેસીડન્ટ જન૨લ. એને હાથે જ બધા અધિકારીઓની નીમણુક, અને કોઈપણ પરદેશીને સરકારમાં જગ્યા આપવાની મનાઈ !

    ધીરે ધીરે મોટા હોદ્દા પરથી કોરીયાવાસીઓને ખસેડવામાં આવ્યા; તેને બદલે જાપાનીઓની ભરતી થઈ. પણ પશ્ચિમના કોઇ મુસાફરને પોતાનું ન્યાયીપણું બતાવવા ખાતર કેટલાંક કોરીયાનાં પૂતળાંને મોટી જગ્યા ઉપર રખાયેલાં, તો તે દરેકની ઉપર અક્કેક જાપાની સલાહકાર નીમી દીધેલો. સલાહકારની સલાહ ઉથાપનારો કોરીયન અધિકારી બીજે દિવસેજ ઘેર બેસતો.

    કોરીયાવાસીઓ માટે જુદાજ કાયદા બન્યા. આરોપીની ઉપર આરોપ સાબીત કરવો જોઇએ તેને બદલે આરોપીએ પોતાનું નિર્દોષપણું પુરવાર કરવું પડે એવા ધારા થયા. જાપાની ભાષા રાજભાષા બની. વારંટ વિના કેદ કરવાની પોલીસને સત્તા મળી. આરોપી બચાવના સાક્ષી આપે તે સ્વીકારવાની મુખત્યારી ન્યાયાધિકારીની રહી. ન્યાયાધિકારી કોણ ? લોહીનો તરસ્યો જાપાની.

     કુલ તહોમતદારો વિના કામ ચાલ્યે સજા પામેલા. નિદોષ ઠરેલા.
    ૧૯૧૩ ૨૧,૪૮૩ ૩૬,૯૫૩ ૮૦૦
    ૧૯૧૪ ૩૨,૩૩૩ ૪૮,૭૬૩ ૯૩
    ૧૯૧૫ ૫૯,૪૩૬ ૪૧,૨૩૬ ૪૭
    ૧૯૧૬ ૮૧,૧૩૯ ૫૬,૦૧૩ ૧૨૬
    બે કરોડ કંગાળ પ્રજાજનોના ગળામાં સત્તર હજાર અમલદારોનું લોખંડી ચોગઠું આજે લટકી રહ્યું છે.

    જુલમ ન સહેવાય ત્યારે અજ્ઞાન પ્રજાજન શું કરે ? ને શું ન કરે ? એને જીવવું અસહ્ય લાગે. જાલીમોના લોહીને માટે એનો પ્રાણ પોકારી ઉઠે. એક નાદાન પ્રજાજનના અંતઃકરણમાં પોતાની માતાને માટે વેદનાની જ્વાળા મળે ત્યારે એ અજ્ઞાન જીવ બીજું શું કરે ? ૧૯૦૯ની સાલમાં રેસીડન્ટ જનરલ કુમાર ઈટોનું એક કોરીયાવાસીએ ખૂન કર્યું. જાપાની જુલ્મને જાગૃત કરવા આ એકજ માણસનો અપરાધ બસ હતો. લશ્કર છુટ્યું, ધરપકડ ચાલી, અખબારો જપ્ત થયાં, અને આખરે ચાર હજાર વરસનો પુરાતન એક સ્વતંત્ર દેશ જાપાનનો એક પ્રાંત બની ગયો. ચાલીસ સૈકાનો ઇતિહાસ એક પળમાં ભૂંસાઈ ગયો. કોઇ વિક્રાળ જાદુગરની છડી અડકતાં, કોરીયાની સૂરત એવી તો પલટી ગઈ કે પોતે પોતાને જ ન પિછાને !

    પ્રજાજનો કહે, “કોરીયા માતા તો મરી ગઈ. આપણે જીવીને શું કરવું છે ?” એક પછી એક પ્રજાજન આપઘાત કરી મરવા લાગ્યા. જાપાની દાનવને દેવાલયે માતા કોરીયાએ એકવાર શિલ્પ, સંસ્કૃતિ, સાહિત્ય તેમજ ધર્મનાં પુષ્પો વેર્યાં હતાં. દાનવે ગર્જના કરી કે હવે હું ફુલોનો ભોગી નથી રહ્યો. હે નારી ! મારે રક્ત જોઈએ–સંપત્તિ જોઈએ. આજ કોરીયાએ એ અસૂરને ચરણે પોતાનાં સંતાનોનાં શબનો ગંજ ખડકી દીધો છે.


    આવતા અંકેઃ પ્રકરણ સાતમું. – છુપાં શસ્ત્રો


    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૦

    રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

    અલ્પા શાહ

    નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.

    આપણે જાણીએ છીએ તેમ માનવ મનની પ્રત્યેક  સંવેદનાઓને કવિવરે રવીન્દ્રસંગીતની વિવિધ રચનાઓ દ્વારા વહેતી મૂકી છે. “પ્રેમ” – આ ટચુકડો શબ્દ કે જેમાં પ્રચંડ તાકાત રહેલી છે – એ સર્વોચ્ચ અનુભૂતિને પણ પ્રેમ પારજોયની અનેક રચનાઓમાં કવિવરે આવરી લીધી છે.

    Love is an endless mystery because there is no reasonable cause that could explain it. – Tagore

    કવિવર એવું દ્રઢપણે માનતા કે પ્રેમ તો એક ગાઢ અને ગૂઢ અનુભૂતિ છે જેના કોઈ કારણો ન હોય… જે અનાયાસે થઇ જાય તે પ્રેમ – પ્રયાસ પૂર્વક કરવામાં આવતો પ્રેમ – પ્રેમ નથી હોતો – તેને કંઈક બીજું નામ આપવું પડે … જેમ તુષારભાઈ શુક્લ લખે તેમ “દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ? એક પૂછીને થાય નહિ પ્રેમ”

    આ અનાયાસે થઇ જતો પ્રેમ જ કદાચ સૃષ્ટિના  સર્વે જીવો માટે ચાલક બળ બની રહે છે. અહીં પ્રેમની પરિભાષા માત્ર વિજાતીય પ્રેમ સુધી સીમિત નથી.. કોઈ પણ બે સંવેદનાસભર જીવો વચ્ચે પ્રેમ પાંગરી શકે છે, ખીલી શકે છે, મહોરી શકે છે…

    પ્રેમ તો અનાયાસે થઇ જાય, પણ પ્રેમની અભિવ્યક્તિ કરવામાં તો પ્રયાસ કરવોજ પડે. પ્રેમની અભિવ્યક્તિની ઘટના તો પ્રેમ થવા કરતા પણ વધુ અગત્યની છે. તેમાંય ખાસ કરીને વિજાતીય પ્રેમમાં. આ નાજુક સંવેદનાને શબ્દોમાં વર્ણવવી કઠિન છે અને એ તો જેને અનુભવી હોય તેજ સમજી શકે….

    આ પ્રેમની  અભિવ્યક્તિ કરતી કવિવરની પ્રેમ  પારજોયની એક ખુબજ મીઠડી રચનાને  આજે આપણે જાણીશું અને માણીશું. 1924 માં રચાયેલીઆ રચનાનું શીર્ષક છે ভালোবাসি ভালোবাসি (Bhalobashi Bhalobashi) અને તેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે “હા, હું તને ચાહું છું….”.આ રચનાનું સ્વરાંકન કવિવરે ખંભાજ   રાગ પર કરેલું છે. આ રચનાને દાદરા  તાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે. બંગાળી રબીન્દ્રસંગીતના ખ્યાતનામ કલાકારોના અવાજમાં આ રચનાને સાંભળવી એ એક અનેરો લ્હાવો છે.મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

    હા, હું તને ચાહું છું

    હા, હું તને ચાહું છું, ફક્ત તને જ ચાહું છું…

    આ દૂર દૂર સુધી પ્રસરતા સૂરીલા સંગીતમાં
    આ ચોમેર રેલાતા મધુર વાંસળીના ગીતમાં
    આ ગગનમાં ઉભરાતા અશ્રુઓના પુંજમાં
    આ ક્ષિતિજે ઉઠતા વિરહી વેદનાના ગુંજમાં
    આ કિનારે આવી વિખરાતા મોજાની સરગમમાં
    આ વિસરાયેલા ગીતો કેરા શબ્દોના પડઘમમાં
    મારા ધબકતા હૃદયના આ અકારણ કંપનમાં

    હા, હું તને ચાહું છું, ફક્ત તને જ ચાહું છું…

    ©અલ્પા શાહ

    આ ટચુકડી અને મીઠડી રચના પ્રેમની અભિવ્યક્તિની રચના છે. પ્રેમના ઇઝહારની રચના છે. કોઈની સાથે પ્રેમ થવો એ તો એક અલૌકિક ઘટના છે પણ કોઈકને તમારી સાથે પ્રેમ થાય અને એ તમારી  પાસે તમારી પ્રત્યેના પ્રેમને અભિવ્યક્ત કરે તે તો કદાચ અતિ-અલૌકિક ઘટના છે. It is beautiful to express love and it is more beautiful to feel it. આ રચનામાં કવિવરે એવાજ કોઈક પ્રેમીની સંવેદનાઓને વાચા આપેલ છે કે જે સમગ્ર સૃષ્ટિમાં એક સમગ્રતાથી પોતાના પ્રેમીને પ્રેમ કરે છે તે શબ્દો દ્વારા આ રચનામાં અભિવ્યક્ત થયેલ છે.  જો કે પ્રેમની અભિવ્યક્તિ હંમેશા શબ્દો દ્વારા જ કરી શકાય તેવું જરૂરી નથી…સાચા અને અલૌકિક પ્રેમની એટલે કે platonic loveની અભિવ્યક્તિ પણ સહજ રીતે થઇ જાય છે. આ અલૌકિક પ્રેમમાં મૌન એ પ્રેમની પરિભાષા અને હાજરી એ પ્રેમના હસ્તાક્ષર બની જાય છે. જોકે આજના યુગમાં તો platonic love કદાચ nonexistent જ છે પણ જો ક્યાંક અને ક્યારેક તમને આવા અલૌકિક પ્રેમની એટલે કે મૌન પ્રેમની સંપૂર્ણ કે આંશિક અનુભૂતિ થાય તો માનજો કે તેમારી પાસે દુનિયાની સૌથી પ્રચંડ તાકાત છે…

    તો ચાલો આ પ્રેમની દિવ્ય શક્તિની સમર્થતાને વાગોળતા વાગોળતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,


    સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • યાદોની પગદંડીની આસપાસ વિખરાયેલાં પુષ્પ…

    સંગીતની કેડીએ જિપ્સીનો વિસામો

    કેપ્ટન નરેન્દ્ર ફણસે

    પહાડોમાં ટ્રેકીંગ કરવા જઈએ ત્યારે લીલાંછમ આસમંતમાં ઉગી નીકળેલાં રંગબેરંગી ફૂલ જોઈ મન કેટલું પ્રસન્ન થતું હોય છે એ આપે અનુભવ્યું છે. જીવનના ચઢાણ પણ કંઈક એવા જ હોય છે. ચાલતાં ચાલતાં  તન કે મન થાકી જાય, ત્યારે આ પગદંડીની આસપાસ પડેલાં ગીતોનાં ફૂલ નિરખીયે ત્યારે  કાનમાં તેમનો સુમધુર ઝંકાર સંભળાય.  તેમાં એક એવો પમરાટ હોય છે, જેની સરખામણી આપણી ડાયરીમાં રાખેલાં પુષ્પોની પાંખડીઓ સાથે કરી શકાય.  પાનું ખોલતાં તેમાંથી સૌરભ નીકળે એવાં ગીતો જે આધુનિક જગતની ગતિમાં ખોવાઈ ગયા છે. પણ તેનું માધુર્ય એવું જ તાજું રહ્યું છે! આજે  સૌથી પહેલાં યાદ આવી સ્વ.ગીતા રૉયની. તેમનાં ઓછાં જાણીતા પણ અત્યંત મધુર ગીતોની વાત કરીએ તો યાદ આવે છે,

    ‘કોઈ ચૂપકે સે આ કે, અપના બનાકે બોલે કિ મૈં આ રહા હું’

    ફિલ્મ ‘અનુભવ’નું આ ગીત ગીતા રૉયે ગાયું અને અભિનય છે તનુજાનો.  આ ફિલ્મમાં તનુજાનો અભિનય એટલો તો સુંદર હતો, તે સમયના વિવેચકોએ આ ફિલ્મને ‘તનુભવ’ કહીને બીરદાવી હતી. આ જ ફિલ્મનું બીજું ગીત…

    ‘મુઝે જા ન કહો મેરી જાઁ..

    https://youtu.be/F6FkVPOMtvM?si=iS1sUMAJaEQSHBCP

    અને તેમના જીવનનાં છેલ્લાં ચઢાણમાં તેમણે આ ગીત ગાઈને તેમના હૃદયને અને તેમના ચાહકોનાં હૃદયોને વલોવી નાખ્યાં:

    વક્તને કિયા, ક્યા હસીં સીતમ… સીતમ પણ કેટલો હસીન!

    https://youtu.be/3TxjJCEKYvE?si=cyxAMRF8QeiCvgZm

    ***

    મુકેશજીએ પહેલું ગીત ગાઈને સૌનું ધ્યાન ખેંચી લીધું. તે વખતે તેમણે સીધી સાયગલ સાહેબની ઢબથી ગાવાનો પ્રયત્ન કર્યો. કોણ જાણે કોણે તેમને કહ્યું કે ચિત્ર, કથા કે કલામાં નકલ કરતાં મૌલિકતાનું મૂલ્ય અનેકગણું હોય છે. તમે તમારા આનંદ માટે તમારા સ્વત્વને બહાર લાવે તેવું ગાશો તો બીજા કોઈને તે ગમશે કે નહિ, પણ તમે તેનો આનંદ જીવનભર લઈ શકશો! મારી અનભિજ્ઞ દૃષ્ટીમાં તેમણે ગાયેલાં બિન-ફિલ્મી કે ફિલ્મી ગીતોમાં જુદી ભાત પાડી ગયા તે ગીતો છે :

    ‘જીયેંગે મગર મુસ્કુરા ન સકેંગે/
    કિ અબ ઝીંદગીમેં મુહબ્બત નહિ હૈ…’

    અને

    ‘કિસે યાદ રખ્ખું, કિસે ભુલ જાઉં..’

    જાણે આપણા ઘરમાં જામેલી મહેફીલમાં મુકેશજી આવીને ગાઈ રહ્યા છે!

    ***

    ઓ.પી. નૈયર માટે કહેવાય છે કે તેમણે સંગીતબદ્ધ કરેલા પહેલા ગીત બાદ સંગીતના ક્ષેત્રમાંથી વિદાય લીધી હોત તો પણ તેઓ ચિરસ્મરણીય થયા હોત! આ ગીત રચવા માટે HMV કંપનીએ તેમને અૉફર આપી : રોકડા વીસ રુપિયા અથવા ‘વેચાય તો રૉયલ્ટી’. પહેલા ગીત માટે તેમણે ‘રોકડી’ કરી લીધી. ગાયકે રૉયલ્ટી પસંદ કરી અને તે જમાનામાં દોઢ લાખ  કમાયા. તે જમાનામાં સરકારી ક્લાર્કનો પગાર ૭૫ રૂપિયા હતો! ગીત હતું

    ‘પ્રિતમ આન મિલો
    દુખિયા જીયા બુલાયે…’

    અને ગાયક ચંદ્રુ આત્મા – જેમનું સૂરજ્ઞાન શૂન્યવત્ હતું પણ આત્માની જેમ અમર થઈ ગયા! શ્રેય તો અલબત્ નૈયર સાહેબને!

    સદ્‍ભાગ્યે નૈયર સાહેબે ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને અનેક અણમોલ ગીતોનો વારસો છોડી ગયા.

    ઓ પી નય્યરે આ ધુનને ફરી એક વાર કરૂણ આર્જવનાં તીવ સ્વરૂપે પ્રયોજી

    https://youtu.be/7wyRHrKtVdo?si=lmYCnvvBfmiDrWGJ

    આ ગીત યાદ છે?

    ‘ચૈનસે હમ કો કભી…’

    આશાજીએ આ ગીત ગાઈને તો કમાલ કરી! ભારતીય સિને સંગીતનો Hall of Fame કદી બનાવવામાં આવે, તેમાં આ ગીત અચૂક આવે!

    આશાજીએ ગાયેલાં અદ્વિતિય ગીતોમાં યાદ આવે છે. એક વસમી વિદાયની યાદ આપતું બીજું ગીત:  જીવનની બંદીશાળામાં પૂરાયેલી બહેન શ્રાવણની અમિધારા જોઈને ગાય છે- પિતાજી, સાવન આવ્યો છે. આ વરસે તો ભાઈને મોકલી મને પિયર બોલાવો…

    ‘અબ કે બરસ ભીજ ભૈયા કો, બાબુલ”

    ***

    સ્મૃતિવનની વાત કરીએ તો પંકજદા’ની યાદ આવ્યા વગર ન રહે! યાદ છે આ ગીત?

    તેરે મંદિરકા હું દીપક જલ રહા…

    ક્રિસમસ કૅરલ, સામાન્ય રીતે, હંમેશા ગવાય છે  પાશ્ચાત્ય સંગીતના ઢાળમાં. પરંપરાગત ભારતીય સંગીત, તે પણ કર્ણાટક પદ્ધતિમાં ગવાયેલું આ કૅરલ યાદ છે આપને? એ. આર. રહેમાન જેવા પ્રતિભાશાળી સંગીતકાર જ આવી અપ્રતિમ કૃતિ આપી શકે:

    રોશન હુઈ રાત…

    https://youtu.be/avf07JLyTsQ?si=dkkUyBHFKEygtXWa

    આજના અંકની આખરમાં એક મહાન ગાયકના કંઠે ગવાયેલ અદ્ભૂત ગીત રજુ કરીશ. આ ગીત પણ લગભગ ભુલાઈ ગયું છે. જો કે તેની તાજગી હજી પણ એવીને એવી જ રહી છે. સ્વ. સાયગલ સાહેબે ગાયેલું ચંડીદાસનું કિર્તન …

    સુનો સુનો હે કૃષ્ણ કાલા..


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com