-
હું છું, મારી ભાષા છે, પણ આશા ક્યાં છે?
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
હજુ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનાં ઉજવણાં આછર્યાં ન આછર્યાં અને આ ‘બે શબ્દો’ સૂર્યપ્રકાશ જોશે. શરૂઆત, પેલા કહે છે તેમ, શરૂઆતથી જ કરું? યુનેસ્કોએ નવસ્વાતંત્ર્યપ્રાપ્ત બાંગ્લાદેશની સત્તાવાર ભલામણ પછી ૨૧મી ફેબ્રુઆરી સાથે આ દિવસ જોડ્યો હતો. પાકિસ્તાને ઉર્દૂને એકમેવ રાષ્ટ્રભાષા થોપવાની કોશિશ કરી એના વિરોધમાં પૂર્વ પાકિસ્તાન (પૂર્વ બંગાળ)ના છાત્રો સડકો પર ઊતર્યા ને પાકિસ્તાનના હુકમરાનોએ એમને અવિચારી રીતે ડામ્યા: તે દરમ્યાન કેટલાક બાંગ્લા છાત્રોએ શહાદત વહોરી. ૧૯૫૨ની ૨૧મી ફેબ્રુઆરીની આ ઘટના આગળ ચાલતાં સ્વતંત્ર બાંગ્લાદેશના ઉદય ભણી લઈ ગઈ.
આપણે ત્યાં સ્વરાજ આંદોલન જોડાજોડ ધરમ મજહબને ધોરણે જે ‘રાષ્ટ્ર’વાળી ચાલી, એની સામે પાકિસ્તાનનું આ વિભાજન એક જુદી જ મિસાલ પેશ કરે છે અને કથિત મજહબી એકતાને છોડીને ભાષાનો મુદ્દો અગ્રસ્થાને આવે છે. મુદ્દે, ઉર્દૂ ન તો બધા મુસલમાનોની ભાષા છે, ન તો કેવળ મુસલમાનોની ભાષા છે, એ સાદી સુધબુધ નવા પાક હાકેમોમાં નહોતી ને આ નોબત આવી. એની સામે આપણે જે રાહ લીધો, સમવાયી અભિગમપૂર્વક, એને કારણે અલગ અલગ ભાષા સંસ્કૃતિવાળા પ્રદેશોને સહજીવન સારુ મોકળાશ મળી રહી: ક્યારેક નવા ભાગલાની કગારે લાગતું દ્રવિડ આંદોલન આજે છૂટા પડવા જેવા પૂર્વવત્ મિજાજમાં ન વરતાતું હોય તો તેનું રહસ્ય આ વિગતમાં છે.
રહો, આ ચર્ચા કેવળ ઉપખંડકેન્દ્રી બની રહે તે પૂર્વે યુનેસ્કોની ભૂમિકાને જરી સમજીએ. માતૃભાષાના મહિમામંડન સાથે એમાં અનુસ્યૂત આગ્રહ ભાષાવૈવિધ્યના સમાદરનો છે. સમાદર અંગેની એની ચિંતા ને ચર્ચા ક્યાં ક્યાં પહોંચે છે! આપણે તો હિંદી-ચીની-રૂસી-ઈંગ્લિશ-સ્પેનિશ-ફ્રેન્ચ એમ પાંચપચીસ દસવીસ ભાષાઓનાં નામમાં રમીએ છીએ. પણ દુનિયામાં નાની નાની કેટલી બધી થઈને ૮,૩૦૦ આસપાસ ભાષાઓ છે. ઉલટ પક્ષે, દુર્દૈવ વાસ્તવ એ છે કે આજે દુનિયાના વિદ્યાર્થીઓ પૈકી ખાસા ૪૦ ટકા એવા છે જેમને પોતાની માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ નસીબ નથી, કેમ કે અડખે-પડખે બધે જ કથિ મોટી ભાષાઓ જળો પેઠે જામી ગઈ છે અને તે નાની ભાષાઓને ગ્રસતી જાય છે
અગર એને દુય્યમ દરજ્જાનું જીવન જીવતા દૃશ્ય છતાં અદૃશ્યવત્ લોકમાં સીમિત કરે છે. નેશન ફર્સ્ટ, એક ભારત શ્રેષ્ઠ ભારત તરેહનાં દેશ-દેશનાં સ્લોગન તળે નાની ભાષાઓ કાં તો કરમાઈ જાય છે કે પછી નકરી ચંપાતી, નકો નકો જિંદગી બસર કરે છે. ૧૯૬૦માં ભાષાને ધોરણે ગુજરાતનું રાજકીય એકમ અસ્તિત્વમાં આવ્યું- અને છેએએક ફેબ્રુઆરી ૨૦૨૩માં એક વિષય તરીકે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજીયાત ગુજરાતી હોય જ, એવું વિલક્ષણ વિધેયક પસાર કરી શક્યા… જાણે નંદ ઘેર આનંદ ભયો. હરખે હુલસતા એક છાપાએ મથાળું પણ મજાનું ફટકાર્યું: ‘હું છું, મારી ભાષા છે, કંઈક થશે એવી આશા છે.’ ભાઈ, આશા તો કે’દીની મંડાઈ હતી, જ્યારે ખુદાવંદ ખંડેરાવના દરબારમાં દલપતરામ વડોદરે ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે પુગ્યા હતા.
આગળ ચાલતાં સયાજીરાવના સમયમાં ગુજરાતીમાં વહીવટ પણ રૂઢ થયો, પણ પછી શું થયું? આ લખું છું ત્યારે ૧૯૫૯માં અમદાવાદના ટાઉન હૉલમાં સાહિત્ય પરિષદના વીસમા અધિવેશન વેળાએ કાકાસાહેબને પ્રમુખ પદેથી બોલતા સાંભળું છું કે એક સવારે વડોદરાનો વહીવટ ગુજરાતીને બદલે અંગ્રેજીમાં ચાલવા લાગ્યો તે સાથે ખબર પડી કે સ્વરાજ આવ્યું છે! અંગ્રેજ રાજના સહજ સંપર્ક તરીકે અંગ્રેજીનો જે પરિચયલાભ થયો એને જરૂર ન છોડીએ, પણ જ્યાં જ્યાં એ અસ્થાને ને અકારણ અસવાર થઈ ગયું છે ત્યાં ત્યાં તો એને છોડી શકીએ ને? ઈતિહાસમાં ઠીક ઠીક પાછળ જઈને જે એક વાત મને વારે વારે સંભારવા જેવી લાગે છે એ તો આપણા એકના એક આનંદશંકરની કુલીન દ્વિધા, અને અંતે જતાં મતપરિવર્તન.આનંદશંકર શરૂ શરૂમાં અંગ્રેજી મારફતે જ શાલેય શિક્ષણના આગ્રહી હતા તે ‘વસંત’ના તત્કાલીન અંકોમાંથી પસાર થનારના ખયાલમાં હોય જ. ૧૯૧૭ના ઓક્ટોબરમાં ભરૂચમાં ગુજરાતી કેળવણી પરિષદ મળી ત્યારે પ્રમુખ સ્થાનેથી ગાંધીજીએ કદાચ એમના જેવાને જ લક્ષ્યમાં રાખીને રેવરંડ ટેલર કૃત સર્વપ્રથમ ગુજરાતી વ્યાકરણના આરંભ ઉદગારો સંભાર્યા હતા કે ‘ગુજરાતી – આર્યકુળની – સંસ્કૃતની પુત્રી – ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી! તેને કોણ કદી અધમ કહે! પ્રભુ, એને આશીર્વાદ દેશો! જુગજુગના અંત સુધી તેની વાણીમાં સદવિદ્યા, સદજ્ઞાન, સદધર્મનો સુબોધ હજો!’
આગળ ચાલતાં, ૧૯૨૮માં નડિયાદની સાહિત્ય પરિષદમાં પ્રમુખ સ્થાનેથી બોલતાં આનંદશંકરે પોતાના મતપરિવર્તનની સાહેદી આપી હતી: ‘૧૮૫૭માં આપણી મુખ્ય યુનિવર્સિટીઓ સ્થપાઈ તે વખતે સર ચાર્લ્સ વૂડે પ્રગટ કરેલી આશા કે ગ્રેજ્યુએટો પોતાનું જ્ઞાન નીચેના વર્ગમાં ઉતારશે એ અત્યાર સુધી સફળ થઈ નથી તેનું કારણ ગ્રેજ્યુએટોનો દોષ નથી, પણ યુનિવર્સિટીના શિક્ષણમાં સર્વ શાસ્ત્રના મણિ ગણમાં માતૃભાષા સૂત્રવત્ પરોવાયેલી નથી એ જ છે. રાજા રામમોહન રાય અને મેકોલેએ સ્થાપેલી અને ચાર્લ્સ વૂડે અભિષિક્ત કરેલી શિક્ષણ પ્રણાલી લગભગ સો વર્ષ સુધી એના એ રૂપમાં જ ચાલ્યાં કરે એ જ એની જડતાની પૂરી નિશાની છે.’
આરંભિક માધ્યમ તરીકે અને વહીવટની રીતે દેશ ભાષાઓની સવાઁગ પ્રતિષ્ઠા, નાનાં નાનાં ભાષાજૂથોને સ્વતંત્ર સ્થાનમાન, રાષ્ટ્રવાદ પરત્વે સમવાયી લોકતાંત્રિક અભિગમ- જેથી એકે ભાષા ધ લેંગ્વેજ બની સવાર ન થઈ જાય અને દેશ દેશ વચ્ચે સમવાયસમાદર, આ મહદ્ દર્શન, ૨૧મી ફેબ્રુઆરીનાં રંગઉજવણાંના તરણા ઓથેથી સમજાઈ રહેશે? દુ:સાધ્ય હશે તો હશે, પણ અસાધ્ય અવશ્ય નથી.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૭-૨-૨૦૨૬ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
આદિમ અને આધુનિક સભ્યતા
મંજૂષા
વીનેશ અંતાણી

સામાન્ય રીતે આપણે દુનિયામાં પ્રવર્તમાન માનવસભ્યતાને બે ભાગમાં વહેંચીને જોઈએ છીએ – આધુનિક અને આદિમ. વાસ્તવમાં દુનિયાના કોઈ પણ ખૂણામાં જન્મેલા અને વસતા માનવો સમાન છે. સૌની શારીરિક રચના એકસરખી છે. સૌ પ્રેમ, ભય, પ્રસન્નતા, દુ:ખ જેવા ભાવો પણ એકસરખા અનુભવે છે. દરેકની પોતાને, પરિવારને, સમાજને, પોતાના દેશ-પ્રદેશને સુરક્ષિત રાખવાની ભાવના પણ એકસરખી હોય છે. ભારતના ગામડાની ઝૂંપડીમાં જન્મેલા બાળક અને દિલ્હી કે ન્યૂ યૉર્ક જેવા મહાનગરના આલીશાન ઘરમાં જન્મ લેતા બાળકના રુદનમાં કોઈ ફરક હોતો નથી. પછી જીવન આગળ વધે છે તેમતેમ માનવોની સંસ્કૃતિ, સભ્યતા, સામાજિક પરંપરા, જીવનશૈલી, વિચારસરણી વગેરેમાં અંતર આવવા લાગે છે.
માનવજાત અનેક સભ્યતામાં વહેંચાઈ ગઈ છે. કોઈ પણ સભ્યતા રાતોરાત વિકસતી નથી. એનાં મૂળ ઊંડાં હોય છે. દરેક સભ્યતાનો આગવો ચહેરો હોય છે. પ્રાચીન સમયમાં માનવો જંગલ-પહાડોમાં વિચરતું જીવન જીવતા, પ્રાણીઓનો શિકાર કરી પેટ ભરતા. પછી ખેતી વગેરેનો વિકાસ થયો અને એમાંથી અલગઅલગ સભ્યતાનો વિકાસ થયો. આજે આપણે બાહ્ય વિકાસને માપદંડ માની કેટલીક સભ્યતાને ‘આધુનિક’ કહીએ છીએ અને આદિવાસી, અરણ્યવાસી અને વિવિધ જનજાતિઓની સભ્યતાને ‘પછાત’ કહેવા લાગ્યા છીએ. એ માન્યતા સાચી નથી. ધ્યાનથી અભ્યાસ કરવામાં આવે તો જેને ‘આદિમ’ કહીને ઉતારી પાડીએ છીએ તે માનવસમૂહ કોઈ પણ રીતે ઊતરતો નથી. વાસ્તવમાં કેટલીય આદિવાસી પ્રજાની જીવનદૃષ્ટિ અને સામજિક રચના આજના કહેવાતા ઉન્નત અને પ્રગતિશીલ સમાજોથી વધારે માનવીય, સંતુલિત અને વિધિવિધાનોની દૃષ્ટિએ વધારે આધુનિક અને પરિપક્વ છે.
બહારથી દેખાતી વિભિન્નતાની ભીતર માનવસમાજને જોડતી ઘણી સમાનતાઓ છે. કોઈ પણ સભ્યતામાં ભાષા, કલા, નૈતિક મૂલ્યો મહત્ત્વનાં ઘટકો છે. એના વિના કોઈ પણ સમાજને ચાલતું નથી. જન્મ, વિવાહ અને મૃત્યુ સાથે જોડાયેલી પરંપરાઓમાં પણ ઘણી સમાનતા છે. દરેક માનવસમાજને પોતાની આગવી વાર્તા-પરંપરાનો વારસો મળ્યો છે. પ્રાચીન સમયની વાર્તાકથનની પરંપરાઓમાંથી આજની વાર્તાઓ, નવકથાઓ, નાટકો, કથાગીતોનો વિકાસ થયો છે. કોઈ પણ સંસ્કૃતિ-સભ્યતા માનવોના આંતરિક વિકાસમાંથી જન્મે છે. ભાષા, બોલી, સંગીત અને અન્ય કળાઓની રજૂઆતની પદ્ધતિ અલગ હોય, પરંતુ એનો મૂળ ઉદ્દેશ માનવોની લાગણીઓને પોષવાનો છે. આનંદ અને શોક વ્યક્ત કરવાની પદ્ધતિ અલગ હોય, પરંતુ એ ભાવો દરેક સભ્યતામાં સમાન હોય છે. શૈલી બદલાય છે પરંતુ આખરે તો બધું માનવભાવોને વ્યક્ત કરે છે – પછી તે આદિવાસી નૃત્ય હોય, લોકસંગીત હોય કે આધુનિક ભવ્ય સંગીતરચના હોય, લોકવાર્તા હોય કે આજની પ્રયોગશીલ કથનરીતિ હોય. ગુફાચિત્રો હોય કે આધુનિક ચિત્રશૈલી હોય.
આજે મોટા ભાગની ‘વિકસિત’ સભ્યતામાં વ્યક્તિગત સિદ્ધિઓને સર્વોત્તમ સ્થાન આપવામાં આવે છે, એની સામે ઘણા આદિવાસી સમાજમાં વ્યક્તિગત ઉપબ્ધિને ખાસ મહત્ત્વ આપવામાં આવતું નથી, બલકે એનાં સામૂહિક પરિણામોને મહત્ત્વ આપવામાં આવે છે. એમના દૃષ્ટિકોણ પ્રમાણે વ્યક્તિનો અંગત વિકાસ ગૌણ છે, આખા સમાજનો વિકાસ શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે. દક્ષિણ આફ્રિકાના કાલાહારી રણપ્રદેશના ‘સાન’ જાતિની કોઈ વ્યક્તિ બહુ મોટા પ્રાણીનો શિકાર કરે ત્યારે એમનો સમાજ એની સફળતાને ગાઈ-વગાડીને પોંખતો નથી. એમ કરીને તેઓ કોઈ વ્યક્તિમાં ઘમંડ જાગે નહીં એનો ખયાલ રાખે છે, જ્યારે આધુનિક સભ્યતામાં વ્યક્તિગત સફળતાને હદબહાર ચગાવવામાં આવે છે. એનાં દુષ્પરિણામો સામે આવી રહ્યાં છે.
કેટલાય આદિવાસીઓની સભ્યતામાં લગ્નને અંગત સંબંધથી વિશેષ સામાજિક જવાબદારી તરીકે જોવામાં આવે છે. પરિણિત યુગલ એમના પરિવારને સાચવે અને પરિવાર એમને સાચવે એવી ભાવના છે. એની સામે આધુનિક સભ્યતામાં લગ્નજીવનમાં વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો સામે આવી ગયો છે. આધુનિક સમાજમાં ઝડપી ક્મ્યુનિકેશન, ઝડપી નિર્ણયોની માયાજાળમાં માનવ માનસિક શાંતિ ખોઈ બેઠો છે, તાંઝાનિયાની આદિવાસી જાતિ ‘હાડ્જા’ના લોકો દિવસનો બહુ થોડો સમય શિકાર કરવા પાછળ આપે છે. સર્વેક્ષણોનાં તારણો પ્રમાણે તેઓ બાકીનો સમય આનંદપ્રમોદમાં, લોકોને મળવામાં અને પરિવારની સાથે રહેવામાં ગાળે છે. એમને ડેડલાઇનના તનાવમાં જીવવું પડતું નથી.
અભ્યાસીઓ પૂછે છે તેમ પ્રગતિ માનસિક શાંતિ આપી ન શકે તો એનો અર્થ શો? આજનો માણસ કુદરતથી ખૂબ દૂર થઈ ગયો છે. વિકાસના નામે આપણે પ્રકૃતિનો કચ્ચરઘાણ વાળી નાખ્યો છે. દુનિયાના લગભગ બધા આદિવાસીઓ નદી, પર્વત અને જંગલ જેવાં પ્રાકૃતિક તત્ત્વોની પૂજા કરે છે. અમેરિકાની ‘લકોટા’ નામના આદિવાસીઓમાં એક વિચાર જાણીતો છે – ‘બધું એકમેકની સાથે જોડાયેલું છે.’ આટલી સાદી વાત સમજવામાં આવે તો પર્યાવરણની વર્તમાન સમસ્યાનો હલ નીકળી શકે.
આધુનિક સમાજ સમાનતાની વાતો કરે છે, પરંતુ આર્થિક, જાતિગત, ધાર્મિક અસમાનતાઓની ખાઈ વધતી ગઈ છે. દુનિયાભરના રાજકારણીઓ એમના સંકુચિત લાભ માટે માનવસમાજને વિભાજિત કરી રહ્યા છે. એની સીધી અસર સામાન્ય પ્રજા પર થાય છે. માનવજીવનના વિકાસનાં સુપ્રસિદ્ધ અભ્યાસી માર્ગરેટ જાડે લખ્યું છે કે અરસપરસ સહયોગ એ માત્ર નૈતિક આદર્શ નથી, જીવનની મૂળભુત શરત છે. ટેક્નોલોજીના વિકાસથી માનવોને અકલ્પ્ય સુવિધા પ્રાપ્ત થઈ છે. તેમ છતાં એની માનવજીવન પર અનેક નકારાત્મક અસરો પણ દેખાવા લાગી છે.
આ અંગે અલ્બર્ટ આઇન્સ્ટાઇન વર્ષો પહેલાં ચેતવણી આપી હતી કે ટેક્નોલોજીના વિકાસમાં માનવ હોવાના ગૌરવનો પરાજય પણ થયો છે. દરેક મનુષ્ય એકસરખા નથી એ જ માનવજાતિની સૌથી મોટી તાકાત છે. કહેવાતી આદિમ સભ્યતા શીખવે છે કે કેવળ આધુનિક હોવું પર્યાપ્ત નથી. આદિમ અને આધુનિક સભ્યતાનો સમન્વય સાચી દિશા છે. જો માનવજાત પ્રાચીન અને આધુનિક અભિગમને જોડી શકે તો એક એવી સભ્યતા આકાર લઈ શકે, જેમાં કેવળ વિકાસ જ નહીં માનવીયતાનું ઊંડાણ પણ હોય.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
ગણેશિયો
ચંદ્રકાન્ત સોની
મુઠ્ઠીવાળી, એણે મજુરીના મળેલા પૈસા ખિસ્સામાં મૂક્યા. પૈસા મળતાં એનો ચહેરો પુલકિત થઈ ઉઠ્યો.
બજાર વિંધતાં ઝુંપડપટ્ટી તરફ એણે પગ ઉપાડ્યા. મોટીમોટી ફાળો ભરતો જાય, અને ખિસ્સામાં વારંવાર હાથ નાખી શાંતિ અનુભવતો જાય.
કપડાંની એક દુકાનની બહાર લટકતી સાડીઓ તે તાકી રહ્યો. ખિસ્સામાં હાથ નાખી પાછો કાઢી લીધો
એ વિચારે ચડ્યો. બે વર્ષ અગાઉની દીવાળીએ પાંદડીએ એક શેઠાણીનું દિવાળીનું ઘરકામ કરી આપેલું અને શેઠાણીએ પોટલી ભરીને ખાવાનું અને જૂની બે સાડીઓ આપેલી, એ પહેરીને બે બે વર્ષથી પાંદડી દિવાળી પર હરખાતી..
હરખાતી પાંદડીને તાકી રહેવાનું તેને ગમતું…મા આઘીપાછી હોય ત્યારે પાંદડીને મીઠું અડપલુ કરતાં કહેતો, “આજે તું અવ્વલ શેઠાણી લાગે છે,”ને બંને ખડખડાટ હસી પડતાં.
તેની વૃદ્ધ મા દર દિવાળીએ ઓછાં થીગડાં હોય એવો ,જાતે ધોઈને, વાળીને ઓશિકા નીચે મુકેલો સાડલો પહેરી સપરમા દાડે થોડું હરખાઈ લેતી.
રોડની એક બાજુના ફૂટપાથ પર નાના બાળકોના તૈયાર કપડાં વેચતા ફેરિયા પર તેની નજર પડી.. એણે તે તરફ પગ ઉપાડ્યા. બાર વર્ષના મણિયાને માપનાં કપડાં અને આઠ વર્ષની જયલીને થાય એવું ફ્રોક તેને પસંદ પડ્યું. ભાવની રકઝક કરી..તેના બંને સંતાનો માટે ખરીદી લીધાં.
ઘેર પહોંચીને જોયું તો, પાંદડી તેના બ્લાઉઝની બાંયોને માપસરની કરવા ટાંકા લઈ રહી હતી, તો મા એક થીગડાંવાળા સાડલાને બીજા થીગડાં માટે, કાપડના ટૂકડા અને સાડલાના કાણા વચ્ચે સમાધાન સાધી રહી હતી.
મણિયો અને જયલી, એકેએક થેલો લઈને રેલ્વે સ્ટેશન બાજુએ કાગળના ડૂચા પ્લાસ્ટિક અને લોખંડનો ભંગાર વિણવા ગયા હતા, તે હજુ આવ્યા ન હતા.
રાત્રે ઓસરીમાં પાથરેલા ખાટલામાં પડ્યો પડ્યો તે વિચારે ચડ્યો.
આજથી બાર તેર વર્ષ પહેલાં પિતાજીના મૃત્યુ પછી એ ઘરફોડ ચોરી કરવાને ઈરાદે તેના પિતાજીનો ગણેશિયો લઈને અંધારામાં નીકળવાની તૈયારી કરતો હતો ને તેની પત્ની પાંદડીએ તેના પગ પકડીને, ખોળો પાથરી હવે આવા ચોરીના ધંધા છોડી દેવા વિનંતી કરતી રડતી રડતી એના પેટમાંના બાળકના સોગંદ આપેલા અને એણે ગણેશિયાને માથું નમાવી યથાસ્થાને મૂકી દીધેલો.
બીજે દીવસે પાંદડીને સાથે લઈ મજૂરીએ ઉપડી ગયેલો.
પાંદડીએ પણ તેના ખભેખભા મિલાવી મજૂરી કરવામાં કોઈ કસર ના છોડી…પણ તેની વૃદ્ધ માની બીમારીએ તેના બે આવકના છેડા ભેગા કરવા મુશ્કેલ કરી દીધા.
આજે તેના મનમાં ચોરી કરવાનો નઠારો વિચાર આવી ગયો.એક બાજુ પૈસાની ખૂબ જ અછત અને બીજી બાજુ દિવાળી જેવો ઉમંગનો તહેવાર આવી રહ્યો હતો. દિવાળીને કારણે પાંચપાંચ દીવસ બજાર પણ બંધ રહેવાનું હતું.. તેની સામે બીમારીમાં કણસતી મા, તો ઓશિયાળા થઈ ટળવળતા બાળકો અને જીવનના તમામ અભરખા છોડી દીવસે દીવસે ગળતી જતી તેની પત્ની પાંદડી.
બજારમાં મજૂરી કરતાં કરતાં એણે છેક છેવાડેની કરિયાણાની દુકાન જોઈ રાખી હતી. તે દુકાનની પાછળની લાકડાની એક બારી એક ધક્કે તોડી શકાય એમ તેનો અંદાજ કંઈ ખોટો ન હતો…અંદરના કબાટનાં તાળાં તોડવામાં તેનો ગણેશિયો કાફી હતો…ભલે પૈસા ટકા ના મળે પણ દીવાળી પર શાંતિથી રાંધી શકાય એટલું કરિયાણું મળે એટલી જ ચોરી કરવાનો તેનો નિશ્ચય હતો..
પાંદડી, નાના બાળકો અને તેની મા હવે ઊંઘતા હશે એમ માની એ ધીમે પગલે ઉઠ્યો.
ગણેશિયો હાથમાં લઈને “પહેલાં સમરૂં ગણપતિ દેવા વિગન દેજો કાપી રામા..”મનોમન પ્રાર્થના કરી, ગણેશિયાને હાથ જોડી, ગણેશિયો હાથમાં લઈને માથે અડકાડ્યો..પણ તે થોડો ધ્રુજી ઉઠ્યો…પાંદડીએ ફરી ગણેશિયો હાથમાં ન લેવા કે ચોરીનો વિચાર પણ ન કરવા’ મેલડી મા’ના સોગંદ આપેલા…
ગણેશિયો તેના હાથમાંથી નીચે પતરાની પેટી પર પડતા, અવાજ સાંભળી પાંદડી અને બંને બાળકો સાથે ખાં,…ખાં..ખાં કરતી મા પણ જાગી ગઈ.
બંને બાળકોએ પાંદડી સામે જોયું.. પાંદડીએ પેલી પતરાની પેટી ખોલી…એક થેલીમાં પરચૂરણ છૂટ્ટા પૈસા અને બીજી થેલીમાં થોડી ફાટેલી ચુંથાયેલી રૂપિયાની નોટો હતી.
માએ નીચે પડેલો ગણેશિયો હાથમાં લીધો બોલી..”આ ગણેશિયાના જોરે તો તારા બાપની અડધી જિંદગી સપાઈઓનો માર ખાવામાં અને જેલમાં રહેવામાં પૂરી થઈ ગઈ બેટા…”
“બાપા, આ મેં અને જયલીએ દીવાળી કરવા ભેગા કરેલા પૈસા..અને સવારે સવારે તમે મજૂરીએ ઉપડી જાઓ ત્યારે મારી માએ પણ હમણાં હમણાં બે ચાર ઘરનું છૂટક ઘરકામ પણ બાંધ્યું છે એના છૂટક કામની આ નોટો.” મણિયો તેને તાકતો કહી રહ્યો.
“આજથી તું મારો ખરો ગણેશિયો.”.કહેતાં મણિયાને બાથમાં લઈ તેની આંખો ભીની થઈ… તે દીવસથી એણે મણિયાનું નામ ગણેશિયો પાડી દીધું.
હવે તો મણિયો પણ તેની બરાબરીમાં મજૂરી કરતો થઈ ગયો હતો…
માના મૃત્યુ વખતે માની લાશના પડખામાં ગણેશિયો મૂકી દીધો..ચિતાના ભડભડતા અગ્નિમાં ગણેશિયો પણ ઓગળી ગયો…પેઢી દર પેઢીનો ગણેશિયાનો સંબંધ સ્મશાનમાં ઓગળીને વિલીન થઈ ગયો.
ચંદ્રકાન્ત જે સોની | મોડાસા
-
અંતિમ વિદાય
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
મા-બાપુ, પમ્મી, મોહન, મોહનની પત્ની શીલા, સોહન અને નિમ્મી.
આ મધ્યવર્ગી પરિવારની મોટી દીકરી પમ્મીને પરણે પાંચ વર્ષ થયાં પછી પણ એના સાસરે થતા ક્લેશના લીધે અવારનવાર પિયર પાછી આવતી.
આજે ફરી આખા ઘરમાં સન્નાટો ફેલાઈ ગયો. કારણ? પમ્મીનો પત્ર.
છેલ્લા કેટલાક સમયથી આમ જ થતું. પમ્મીનો પત્ર આવતો અને સૌ ખળભળી જતાં. અકળાયેલા બાપુજી બહાર ચાલ્યા જતા. મા રસોડામાં જઈને રૂદન ખાળવાનો પ્રયાસ કરતી છતાં આંખમાંથી આંસુના પૂર વહી આવતા. સોહન ભણવાના બહાને ભાઈબંધના ઘેર ચાલ્યો જતો અને જમવાના સમય સુધી પાછો નહોતો ફરતો. મોઢું ચઢાવીને નિમ્મી પોતાના રૂમમાં ચાલી જતી.
આવા સમયે ઘરમાં સૌથી વધુ ભાર મોહન અને શીલા અનુભવતાં. હંમેશાં ડરતાં કે, ભૂલથી પણ એવું કશું ના બોલાઈ જાય જેનાથી દારુખાનામાં આગ ચાંપવા જેવી સ્થિતિ સર્જાય.
પમ્મીના પત્રની સૌથી વધુ અસર મા પર થતી.
પાંચ વર્ષના વૈવાહિક જીવનમાં છેલ્લાં ચાર વર્ષથી પમ્મીની એકધારી ફરિયાદ આવતી કે, “જો મારે અહીં વધુ રહેવાનું થશે તો પછી કશું હાથમાં નહીં રહે. હું કંઈક ખાઈ બેસીશ તો તમે મને ખોઈ બેસશો.”
શરૂઆતમાં પમ્મી પિયર ચાલી આવતી તો સૌ એને સાચવી લેતાં. બેચાર દિવસ પછી બાપુજી ખુદ પમ્મીના સાસરે જઈને એણે કરેલા કે ન કરેલા અપરાધોની માફી માંગી લેતા. ક્યારેક જમાઈને બોલાવીને સમજાવતા, પણ સઘળું વ્યર્થ.
પમ્મી આવતી ત્યારે ઘરના રોજિંદા ક્રમની સાથે મહિનાનું બજેટ પણ ખોરવાઈ જતું. પમ્મીને ખુશ રાખવા મા ઢગલો રૂપિયા ખર્ચી નાખતી.
આ બધું કરવામાં શીલાનાં જ પૈસા ખર્ચાતા. ઘરમાં આરોપ-પ્રતિ આરોપનો સિલસિલો શરૂ થઈ જતો.
આ બધું જોઈને પમ્મીને પણ અતિ દુઃખ થતું. ક્યારેક એ બોલી દેતી કે, “મારા આવવાથી ઘરનું વાતાવરણ સાવ આવું થઈ જશે એવી ખબર હોત તો હું મારા ઘેર શું ખોટી હતી?”
અને સાચે જ સૌ પમ્મીના જવાની તૈયારી આદરી દેતાં. ઢગલો સામાન સાથે પમ્મીને અપાતી વિદાય કપરી રહેતી. ઘરની નજીવી આવકમાં મોટો ખાડો પડતો. પમ્મીની વિદાય સાથે ઘરનાં સૌની જરૂરિયાત પર કાપ આવી જતો.
પમ્મીને સાચવવાની મથામણમાં ઘરખર્ચમાં જે ખાઈ ઊભી થતી એ પુરાય ત્યાર પહેલાં તો પમ્મીનો બીજો પત્ર આવતો. આમ ક્યાં સુધી ચાલશે એની દ્વિધા સાથે એક ડર સૌના મનમાં રહેતો.
આ વખતે પમ્મીનો પત્ર આવતા ફરી ઘર આખામાં ખળભળાટ મચ્યો. મોહન પમ્મીને લઈ આવવાની તરફેણમાં હતો. માર્ચ મહિનાથી સોહન અને નિમ્મીની પરીક્ષાઓ શરૂ થતી હતી. પમ્મીના આવવાથી ભણવા-વાંચવા પર અસર થશે એ વિચારે સોહન પમ્મીને બોલાવવાના મતમાં નહોતો.
નિમ્મી પણ સોહન સાથે સંમત હતી કારણ કે પમ્મીની આવવાથી ઘરનું વાતાવરણ અશાંત થઈ જતું. પમ્મી પોતાની દીકરીની તો વાત દૂર ખુદને માંડ સંભાળી શકતી. હતાશાને લીધે ગુમસૂમ થઈને એક રૂમમાં બેસી રહેતી પરિણામે બંનેને સાચવવામાં ઘરમાં સૌની જવાબદારી વધી જતી.
“વાહ, શું કળયુગ આવ્યો છે, પોતાની બહેન પણ સૌને નડે છે?” સોહન અને નિમ્મીની વાતથી મા અકળાતી.
અંતે બાપુજીએ પમ્મીને પત્ર લખીને જણાવી દીધું કે, ‘સોહન અને નિમ્મીની પરીક્ષાઓ પૂરી થશે ત્યારે એ ખુદ એને લેવા આવશે.’
પણ, હજુ તો પત્ર પહોંચે એ પહેલાં પમ્મી આવી પહોંચી. એને જોઈને સૌના હૃદયમાં ધ્રાસ્કો પડ્યો.
એ દિવસે ઘરમાં આનંદનું વાતાવરણ હતું. મોહને નિમ્મીના વિવાહ અંગે વાત કરવા એના એક પરિચિત પરિવારને જમવાનું આમંત્રણ પાઠવ્યું હતું. મુલાકાતના બહાને એ લોકો ઘર અને નિમ્મીને જોઈ લે એવી એની ઇચ્છા હતી.
ઘર અને નિમ્મીને સજાવીને શીલાએ સાસુમાને પણ તૈયાર કર્યા. મહેમાનોની આગતાસ્વાગતા શરૂ જ થઈ હતી ને પમ્મી આંધીની જેમ આવીને વાવાઝોડાની જેમ વરસી.
“મને ત્યાં ભઠ્ઠીમાં છોડીને અહીં તમે સૌ મહેમાનોને બોલાવીને મઝા માણો છો? કેટલા પત્રો લખ્યા, પણ કોઈએ ખબર લેવાની તસ્દી સુદ્ધાં ના લીધી કે પમ્મી જીવે છે મરી ગઈ. હું આટલી ભારે પડતી હતી તો હાથ-પગ બાંધીને મને કૂવામાં જ ફેંકી દેવી હતી ને? તમારી પાસે આપવા જેટલું કંઈ હતું નહીં તો મારા લગ્ન કરવાની જરૂર ક્યાં હતી?” પમ્મીનો શ્વાસ ધમણની જેમ ફૂલતો હતો.
મહેમાનોની હાજરીમાં જે તમાશો થયો એનાથી સૌ અત્યંત ભોંઠા પડી ગયાં. અનેકવાર ક્ષમાયાચના માંગીને મહેમાનોને વિદાય કર્યા. નિમ્મી માટે એમનાં તરફથી શું જવાબ આવશે એ તો નિશ્ચિત જ હતું.
મહિનાના આખરી દિવસો હતા છતાં નિમ્મીના ભવિષ્ય માટે થઈને મોહને મહેમાનગતિ માટે જેમતેમ કરીને સગવડ કરી હતી. મોહનના કર્યા-કારવ્યા પર પાણી ફરી ગયું. ઘરમાં માતમ જેવું વાતાવરણ છવાઈ ગયું.
મા અને શીલા સિવાય સૌએ પમ્મીની ઉપેક્ષા કરી હોય એમ પોતપોતાનાં કામે વળગ્યાં.
બે દિવસ તો પમ્મી શાંત રહી શકી, પછી લાવાની જેમ ઉકળવા માંડી.
“લાગે છે કે મારું અહીં આવવું કોઈને ગમ્યું નથી. આવું અપમાન થશે એવી ખબર હોત તો મારા જ ઘરમાં અપમાન સહન કરીને બેસી રહેત કે પછી નાનીમોટી નોકરી શોધી લેત.”
“હા, ભાઈ-ભાભીની છાતી પર મગ દળવા કરતાં તો નોકરી જ શોધી લેવી જોઈતી હતી. જ્યારે મન થાય ત્યારે ચાલી આવે છે, ક્યાં સુધી તારા માટે સૌએ હેરાન થવાનું? ઘરમાં એક બીજી છોકરી પણ છે જેને પરણાવવાની છે, એટલી તો તને ખબર હોવી જોઈએ.” આ વખતે તો સોહને સંભળાવ્યું.
“તારા ઘેર આવું ત્યારે આટલો રોફ દેખાડજે. અત્યારે તો મારા પિતાના ઘેર આવું છું.”
“પિતાનું ઘર….? વિચારી જોજે.” કહીને સોહન ઘરની બહાર ચાલ્યો ગયો. નાનો હતો, અપરણિત હતો એટલે આગળપાછળનું વિચાર્યા વગર પોતાનો ઉકળાટ ઠલવવા જેટલી સ્વતંત્રતા લઈ લીધી.
સોહન આટલું બોલી ગયો છતાં બાપુજી કંઈ જ ન બોલ્યા એ વાતે પમ્મી સ્તબ્ધ હતી. જેમના આધારે, વગર વિચારે પોતે ચાલી આવી હતી એમણે પણ સોહનને બોલતા ન રોક્યો એ વિચારે પમ્મીનો આઘાત બેવડાયો.
“બાપુજી….?”
“હું શું કરું પમ્મી ? શક્ય હતું ત્યાં સુધી પહોંચી વળવા પ્રયાસ કર્યા, પણ હવે આ બુઢ્ઢા બાપમાં એટલી તાકાત રહી નથી કે, આ બધું સંભાળી શકે. મારાં પેન્શનમાંથી દવાઓ જ માંડ આવે છે. દીકરાના ભરોસે દિવસો કાઢું છું ત્યાં એના માથે કેટલો ભાર વધારું? પમ્મી દીકરા, અમે તારા જન્મ માટે જવાબદાર છીએ. કર્મની ગતિ તો તારે જ ભોગવવી પડશે. સુખ કે દુઃખ જે નસીબમાં લખાયું છે એ તો તારા ઘરે રહીને ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. આમ ને આમ ચાલશે તો નિમ્મીના વિવાહ કેવી રીતે કરીશું?”
ચાર દિવસ પછી સોહન સાથે પમ્મીને સાસરે મોકલી ત્યારે બાપુજીને લાગ્યું કે જાણે દીકરીને અંતિમ વિદાય ના આપી રહ્યા હોય !
નથી ને કાલે કશું અજુગતું બન્યું, પમ્મીના સાસરિયાઓએ એની સાથે કશું અઘટિત કર્યું તો એમાં પોતે પણ બરાબરના હિસ્સેદાર જ ગણાશે.
માલતી જોશી લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
વાદ્યવિશેષ (૩૯) – તાલવાદ્યો (૪) : ઢોલકી, નાળ અને માદલ
ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
ગઈ કડીમાં આપણે ઢોલકનો પરિચય કર્યો. રસપ્રદ બાબત એ છે કે ઢોલક જેવી જ મૂળભૂત રચના ધરાવતાં અન્ય તાલવાદ્યો પણ છે. બહુ ઝીણી નજરે જોઈએ તો જ એ બધાં વચ્ચેનો તફાવત ખ્યાલ આવી શકે છે. આવાં અલગઅલગ તાલવાદ્યોના વાદનની શૈલી થોડાઘણા અંશે જુદી પડતી રહે છે. વળી દરેકના બોલ પણ જુદા પડતા હોય છે. આ કડીમાં આપણે તે પૈકીનાં ત્રણ – ઢોલકી, નાળ અને માદલ- વિશે વાત કરીએ.
ઢોલકી મોટા ભાગે મહારાષ્ટ્રના લાક્ષણિક લોકનૃત્ય લાવણી સાથે વગાડવામાં આવે છે. ઢોલક કરતાં કદમાં નાની અને પરિણામે વજનમાં હલકી હોવાથી તેને આસાનીથી બન્ને છેડે પાતળી દોરડી વડે બાંધી, ગળામાં પહેરી, કલાકારો નાચતા કૂદતા વગાડી શકે છે.
ઢોલકી

ઢોલકી ઢોલકીનું વાદન કેવું હોય તેનો અંદાજ આ ક્લીપ પરથી આવી શકશે.
નાળ અને ઢોલકી કદમાં અને દેખાવમાં લગભગ સરખાં હોય છે. કેટલાક વિસ્તારોમાં એક જ તાલવાદ્યને નાળઢોલ તરીકે ઓળખવામાં આવે છે. પણ જાણકારોના મત પ્રમાણે ઢોલકી કરતાં નાળનો દાંયા તરીકે ઓળખાતો ભાગ વધુ સાંકડો હોય છે. આમ હોવાથી તે બાજુએ વગાડવાથી નિષ્પન્ન થતો ધ્વનિ સરખામણીએ તીવ્ર હોય છે.

નાળ નાળનો વ્યાપક ઉપયોગ પંજાબી લોકનૃત્યો સાથે થતો હોય છે. નાળના અવાજનો કંઈક અંદાજ આ વિડીઓ ક્લીપમાં આવી શકશે.
https://www.youtube.com/watch?v=RlnkOo3oUIQ
માદલ દેખાવે ઢોલકીનું જ નાનું સ્વરૂપ હોય તેમ જણાય છે. જો કે તેના બોલ અને વાદનની શૈલી ખાસ્સાં અલગ પડે છે. નેપાળ અને આસપાસના વિસ્તારોમાં નાળ એક લોકવાદ્ય તરીકે ખુબ જ વ્યાપક પ્રમાણમાં પ્રચલિત છે. ફિલ્મી વાદ્યવૃંદમાં માદલને સ્થાન આપવાનું શ્રેય રાહુલદેવ બર્મન અને તેમના સહાયક મનોહારી સિંહને જાય છે. રણજીત ગઝમેર નામના એક યુવાન માદલવાદકને તેઓ કલકત્તાથી મુંબઈની ફિલ્મી દુનિયામાં લઈ આવ્યા. આ નાનકડા વાદ્ય થકી કેટલાંયે ફિલ્મી ગીતો સાથે તાલના વિશિષ્ટ પ્રયોગો થયા છે.

માદલ માદલવાદનની આ ક્લીપ થકી તેના અવાજનો ખ્યાલ આવી શકશે.
https://www.youtube.com/watch?v=7O1EWGNyynQ
ઉલ્લેખનીય છે કે આ ત્રણમાંથી એકેય વાદ્ય સ્વતંત્ર રીતે શાસ્ત્રીય પદ્ધતિએ તાલ વગાડવા માટે અથવા તો શાસ્ત્રીય વાદન/ગાયન સાથે તાલ પૂરાવવા માટે ઉપયોગે નથી લેવાતું.
હવે કેટલાંક ફિલ્મી ગીતો સાંભળીએ, જેમાં આ પ્રકારનાં તાલવાદ્યોનો ઉપયોગ થયો હોય. નોંધનીય છે કે ફિલ્મી વાદ્યવૃંદોમાં એક કરતાં વધારે પ્રકારનાં તાલવાદ્યો ઉપયોગે લેવાતાં હોય છે. આથી કોઈ ગીતમાં ચોક્કસ એક તાલવાદ્યનો અવાજ સંપૂર્ણપણે અલગ પાડી શકાય એવું ક્યારેક જ બનતું હોય છે.
૧૯૪૯માં પ્રદર્શિત થયેલી ફિલ્મ મહલ માટે સંગીતકાર ખેમચંદ પ્રકાશે તૈયાર કરેલાં ગીતો આજે પણ ભારે લોકચાહના ધરાવે છે. તેમાંનું એક ગીત ‘એક તીર ચલા દીલ પર મેરે’ સાંભળીએ. ગાયકીની સાથે તાલ પૂરાવતાં તાલવાદ્યોમાં નાળની ચાટીનો તીવ્ર અવાજ પારખી શકાય છે.
૧૯૪૯ની સાલની ફિલ્મ રીમઝીમમાં પણ ખેમચંદ પ્રકાશનું જ સ્વરનિયોજન હતું. આ ફિલ્મનું ગીત ‘ના તુમ આયે ના નીંદ આયી’ પણ નાળના તાલથી સજાવાયેલું છે.
ફિલ્મ આવારા (૧૯૫૧)ના સ્વપ્નગીતના બીજા ભાગ ‘ઘર આયા મેરા પરદેસી’ના રેકોર્ડીંગ સમયે રાજ કપૂર અને સંગીતકાર જોડી શંકર-જયકિશન તાલવાદંનથી સંતુષ્ટ નહોતા. આ સમયે આખરી ઉપાય તરીકે સહાયક સંગીતકાર દત્તારામે લાલા ભાઉ નામેરી એક સાવ અજાણ્યા ઢોલકીવાદકને તેડાવ્યા. તે કલાકારે પોતાના કસબ વડે ગીતમાં જાન ભરી દીધો. ગીત સાંભળતાં જ ઢોલકીના બોલ સ્પષ્ટ તરી આવે છે.
ફિલ્મ દાગ (૧૯૫૨)ના ગીત ‘દેખો આયા કૈસા જમાના’ સાથે ઢોલકીનો પ્રયોગ માણી શકાય છે. સંગીત શંકર-જયકિશને તૈયાર કર્યું હતું.
https://www.youtube.com/watch?v=Sf6dbWkCEHg&list=RDSf6dbWkCEHg&start_radio=1
હવે માણીએ ૧૯૭૧ની ફિલ્મ હરે રામા હરે ક્રિશ્નાનાં બે ગીતો, જેના વાદ્યવૃંદમાં માદલનો પ્રયોગ પહેલી વાર થયો. પહેલાં સાંભળીએ ‘કાંચી રે કાંચી રે’. નેપાળી પૃષ્ઠભૂમી પર ફિલ્માવાયેલા આ ગીત સાથે માદલના બોલ બરાબર તાલ મિલાવે છે. અગાઉ જણાવ્યું તેમ આ ગીતના વાદ્યવૃંદમાં રણજીત ગઝમેરે પહેલી વાર માદલ વગાડ્યું અને તેમની કાયમી ઓળખાણ કાંચા તરીકે જ બની રહી. વળી તેઓ રાહુલાદેવની ટીમના કાયમી સભ્ય બની રહ્યા.
આ જ ફિલ્મના અન્ય એક ગીત ‘ગલીયોં મેં ઘૂમો, સડકોં પે ઝૂમો’ સાથે પણ ઢોલકી અને માદલના બોલ સંભળાતા રહે છે.
ફિલ્મ દો ફૂલ (૧૯૭૩)ના ગીત ‘મુથુકોડી કંવારી હડા’ સાથે માદલના બોલ આસાનીથી પારખી શકાય છે. સંગીત રાહુલદેવ બર્મનનું છે.
૧૯૭૩ની જ ફિલ્મ દાગ માટે ગીતો લક્ષ્મીકાંત-પ્યારેલાલે તૈયાર કર્યાં હતાં. તેનું ગીત ‘મૈં તો યાર મનાના ની’ માણીએ. પરદા ઉપર કલાકારો ઢોલ વગાડતા દેખાય છે, પણ ઢોલકીના ખુબ જ પ્રભાવક બોલ કાને પડતા રહે છે
ફિલ્મ ઈમાન (૧૯૭૪)નું ગીત ‘કૈસે મીટ્ટી કે માધવ સે પાલા પડા હૈ’ સાંભળીએ. તાલવાદ્ય તરીકે ઢોલકી અને માદલના બોલ સાંભળી શકાય છે. સંગીત રાહુલદેવ બર્મનનું છે.
https://www.youtube.com/watch?v=susUIXy5bUA&list=RDsusUIXy5bUA&start_radio=1
૧૯૭૮ના વર્ષમાં પરદા પર રજૂ થયેલી ફિલ્મ ઘરનું એક ગીત ‘તેરે બિના જીયા જાયે ના’ માણીએ. રાહુલદેવ બર્મનના સ્વરનિયોજનમાં તૈયાર થયેલા આ ગીત સાથે માદલનો પ્રયોગ ખુબ જ કર્ણપ્રિય બની રહે છે.
https://www.youtube.com/watch?v=-W3hN8dgAy4&list=RD-W3hN8dgAy4&start_radio=1
આ કડીની આખરમાં માદલના બોલ વડે સજાવાયેલું ૧૯૮૧ની ફિલ્મ ઝમાને કો દીખાના હૈનું ગીત ‘હોગા તુમ સે પ્યારા કૌન’ સાંભળીએ. સંગીત રાહુલદેવ બર્મનનું છે.
આવતી કડીમાં નવાં ગીતો સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
ઠંડા ચાબખા વધુ વાગે
ધિક્કારનાં ગીતો
દ્વેષ જ્યારે ગુસ્સા ને બદલે ઠંડકથી વ્યક્ત કરવામાં આવે ત્યારે પણ દઝાડી જ શકે.
દીપક સોલિયા
ફિલ્મ અનામિકાના આકરા દ્વેષ-ગીત ‘મેરી ભીગી ભીગી સી’ વિશે વાત કરી, જેમાં દાઝે ભરાયેલા પુરુષે મધૂર ટ્યૂનમાં ગાતાંગાતાં ‘આગ સે નાતા’ અને ‘નારી સે રિશ્તા’ને એકસમાન ગણાવી દીધાં. એટલેથી ન અટકતાં એણે સ્ત્રીને શાંતિથી શ્રાપ પણ આપી દીધો કે જા, તું રસ્તા પર નીકળીશ ત્યારે લોકો તારા પર હસશે, થૂથૂ કરશે. તેરી બેવફાઈ પે હંસે જગ સારા, ગલી ગલી ગુઝરે જિધર સે…
આવો શ્રાપ આમ તો નારીદ્વેષની હાઈટ ગણાવો જોઈએ. પણ એવું નથી. નારીદ્વેષ આનાથી પણ વધુ ઊંચાઈ સર કરી શકે છે. એ નારીનું સર કાપી શકે છે. રોષે ભરાયેલો પુરુષ માત્ર શ્રાપ આપીને અટકવાને બદલે નારીની હત્યા કરવા સુધી પહોંચે અને હત્યા કર્યા બાદ લાશના નિકાલ વખતે ઠંડી ક્રૂરતા અપનાવે એવા કિસ્સાઓની ઝાઝી નવાઈ નથી. હાલમાં બહુ ચગેલા આફતાબ-શ્રદ્ધાના કિસ્સામાં ખૂન કરવાની કે દેહના ટુકડા કરવાની ઘટનાથી પણ વધુ થિજાવનારી બાબત છે દેહના ટુકડાનો હિસાબ. જો આફતાબે 34 પણ નહીં અને 36 પણ નહીં, પરંતુ ખરેખર 35 ટુકડા કર્યા હોય તો સ્વાભાવિક છે કે એકએક ટુકડો તેણે ગણીને રાખ્યો હશે. ગણવા માટે ફોકસ જોઈએ. ગણતરી વખતે તેનું મગજ જરાય આડુંઅવળું નહીં ફંટાયું હોય. શક્ય છે કે તેણે ટુકડા કરતી વખતે નહીં, બલ્કે બાદમાં નિકાલ કરતી હિસાબ કર્યો હોયઃ આજે ત્રણ ટુકડાનો નિકાલ કર્યો… આજે એક… આજે બે… અને પછી આખા દેહના બધા જ ટુકડાનો નિકાલ થઈ ગયા બાદ તે સરવાળો કરવા બેઠો હશે અને એમાં કુલ આંકડો આવ્યો હશે, 35. ટૂંકમાં, ટુકડાઓનો હિસાબ કરતી વખતે દાખવવામાં આવેલી ઠંડક… એ છે આ ભયાનક ઘટનાક્રમનું સૌથી ચિલિંગ-થિજાવનારું પાસું. આગ દઝાડે જ, પરંતુ ઠંડક પણ ઓછી ‘કરપીણ’ નથી હોતી.
દ્વેષની અભિવ્યક્તિને પણ આ વાત લાગુ પડે છે. નારી પ્રત્યેનો દ્વેષ વ્યક્ત કરવા માટે પુરુષ ક્યારેક ગરમીને બદલે નરમીની રીત અપનાવતો હોય છે. એ નારીની સીધી ટીકા કરવાને બદલે પ્રેમના જોખમ ગણાવીને અને ડાહીડાહી, શાણીશાણી વાતો કરીને આડકતરી રીતે સ્ત્રીનો વિરોધ કરતો હોય છે કે સ્ત્રીથી પિંડ છોડાવવા મથતો હોય છે.
આવું એક ગીત છે, ફિલ્મ મજબૂરનું. ગીતના શબ્દો છે, આદમી જો કહતા હૈ, આદમી જો સુનતા હૈ…. ગીતમાં હીરો પહેલી નજરે તો એકદમ શાણપણભરી વાત કરે છે કે માણસે બોલવામાં તો ઠીક, સાંભળવામાં પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આજે આપણે જે બોલીએ-સાંભળીએ છીએ અને આજે આપણે જે સદદુઆ-બદદુઆ આપીએ છીએ તે પછી જિંદગીભર આપણો પીછો કરે છે (માટે તું મારો પીછો છોડી દે, પ્લીઝ).
શબ્દો ધ્યાનથી વાંચોઃ
આદમી જો કહતા હૈ, આદમી જો સુનતા હૈ
ઝિંદગીભર વો સદાએં પીછા કરતી હૈ
આદમી જો દેતા હૈ, આદમી જો લેતા હૈ
ઝિંદગીભર વો દુઆએં પીછા કરતી હૈ.માટે, આપણે બોલવામાં તો ઠીક સાંભળવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. કોઈને શાંતિથી સાંભળીએ તો પણ પ્રેમ થઈ શકે. પછી પ્રેમ પીછો કરે. કોઈનાં સિક્રેટ્સ સાંભળ્યા બાદ એ સિક્રેટ આપણાથી ક્યાંક લીક ન થઈ જાય તેનું ધ્યાન રાખવું એ આપણી જવાબદારી બની રહે છે અને એ સિક્રેટ બીજું કોઈ લીક કરે તો પણ આરોપ આપણા પર આવી શકે કે આણે ચાડી ફૂંકી. માટે, બોલવામાં તો ઠીક સાંભળવામાં પણ ચેતવું. અને કોઈનું ભલું-બૂરું ઇચ્છવામાં પણ ચેતવું, કારણ કે આપણી શુભેચ્છાઓ કે આપણી હાય કામ કરી પણ જાય… કંઈ કહેવાય નહીં.
આ આખા ‘ઉપદેશ’માં ક્યાંય નારીદ્વેષ શોધ્યો પણ ન જડે. છતાં, આ ગીત દ્વારા નાયક (અમિતાભ) નાયિકા (પરવીન બાબી)ને જે કહેવા માગે છે તે એ છે દૂર રહે મારાથી, પ્રેમમાં પડવા જેવું નથી, રૂપાળાં સપનાં જોવાં જેવાં નથી.
કોઈ ભી હો હર ખ્વાબ તો સચ્ચા નહીં હોતા
બહોત ઝ્યાદા પ્યાર ભી અચ્છા નહીં હોતા
કભી દામન છુડાના હો તો મુશ્કિલ હો
પ્યાર કે રિશ્તેં ટૂટે તો, પ્યાર કે રસ્તે છૂટે તો
રાસ્તે મેં ફિર વફાએં પીછા કરતી હૈ.ભાઈ ભારે પ્રામાણિક. ચોખ્ખું કહી દે છે કે ખોટાં સપનાં જોયાં હોય અને બહુ પ્રેમ કર્યો હોય તો દામન-પિંડ છોડાવવાનું કામ અઘરું બની જાય છે, કારણ કે છૂટતી વખતે અગાઉનો અલ્પ સમયનો પ્રેમ પીછો કરે, પીડા આપે.
એક ચોક્કસ સ્ત્રીને દૂર ધકેલવા માટે આટલું કહ્યા બાદ હીરો એકદમ ઓવરઓલ ફિલોસોફી, વ્યાપક તત્ત્વચિંતન પર ઉતરી જાય છેઃ
કભી કભી મન ધૂપ કે કારણ તરસતા હૈ
કભી કભી ફિર ઝૂમ કે સાવન બરસતા હૈ
પલક ઝપકેં યહાં મૌસમ બદલ જાયે
પ્યાસ કભી મિટતી નહીં, એક બૂંદ ભી મિલતી નહીં
ઔર કભી રિમઝિમ ઘટાએં પીછા કરતી હૈ.મળતું કશું નથી ને માથે ઘણું પડે છે… ખાયાપિયા કુછ નહીં, ગિલાસ ફોડા બારાહ આના… આવી આકરી વાત કવિ કાવ્યાત્મક ઢબે કહે છેઃ એક બૂંદ પણ નથી મળતી નથી અને જળથી ભરેલાં વાદળાં પીછો કરે છે.
ટૂંકમાં, હે સ્ત્રી, દૂર રહે મારાથી, પ્રેમમાં પડવાનું કામ આપણે રહેવા દઈએ.
અલબત્ત, ફિલ્મ મજબૂરમાં તો હીરો પોતાની મજબૂરીને લીધે, જાનલેવા બિમારીની જાણ થવાને લીધે હિરોઈનને પ્રેમથી દૂર કરવા કહી રહ્યો છે, પરંતુ આ બધું બૅકગ્રાઉન્ડ જાણ્યા વિના કોઈ આ ગીત સાંભળે તો તેને એવું લાગી શકે કે પ્રેમમાં પડવામાં બહુ સાર નથી… નારીથી દૂર રહેવું જ સારું…
અને આમ પણ કોઈએ યોગ્ય રીતે જ કહ્યું છે તેમ, પ્રેમનો સામેનો છેડો દ્વેષ નથી. પ્રેમના સામેના છેડે છે નિર્લેપતા, ઇનડિફરન્સ… એક વ્યક્તિને ધિક્કારવા કરતાં પણ વધુ રોષયુક્ત કૃત્ય એ છે કે એના અસ્તિત્વને જ નકારી કાઢવું. ‘તું ખરાબ છે… તું બેવફા છે… તું પાપીણી છે…’ એવા શબ્દો કરતાં પણ વધુ ખતરનાક શબ્દો આ છેઃ ‘તું મારા માટે કશું છે જ નહીં… તું વળી કોણ… મારે કંઈ કહેવું નથી… મારે કંઈ સાંભળવું નથી…’
માટે આ એકદમ નિર્દોષ લાગતું ગીત આમ જુઓ તો ભારે ખતરનાક છે, જે કહે છેઃ આદમી જો કહતા હૈ, આદમી જો સુનતા હૈ, ઝિંદગીભર વો સદાએં પીછા કરતી હૈ. માટે, છોડો પ્રેમ-બ્રેમ.
https://youtu.be/J4i7hGkR3g8?si=eS8p8MRVGe43mMtp
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
-
ચકલી
લતા હિરાણી
એક હતી ચકી.
ચીં ચીં ચીં ચીં કર્યા કરે.આમ ઊડે તેમ ઉડે અને ફેરફુંદરડી ફરે.
ચકી ની મમ્મી કહે – તું હવે મોટી થઈ છે. હવે તારે સ્કૂલે જવાનું છે અને ખૂબ ભણવાનું છે.
ચકી કહે – ના રે ના મારે તો કંઈ ભણવું નથી .એ તો ક્યાંક નળ ટપકતો હોય તો એની નીચે જઈને ફરરરર કરીને નહાઇ લે.

નાનકડું ખાબોચિયું ભરાયું હોય તો એમાં બેસે. પાંખો કરે ફરરરર.. ચારેબાજુ છાંટા ઉડાડતી જાય અને ઉડી જાય.
આખો દિવસ ચકી રમ્યા કરે, એની બહેનપણીઓ સાથે ભમ્યા કરે અને ગીતો ગાયા કરે.એક દિવસ ચકી ઉડતી ઉડતી જંગલમાં ગઈ. જંગલમાં એને પરી મળી. પરી તો બહુ સુંદર.
એને જોતાં જ ચકી ખુશ ખુશ થઈ ગઈ. – વાહ રે વાહ, કેવી સુંદર પરી ! ભૂરા ભૂરા વાંકડિયા વાળ અને રંગબેરંગી પાંખો ! વાહ, વાહ’ એને મન થયું કે હું પણ પરી જેવી સુંદર થઈ જાઉં.

પરી જેવું બનવા માટે શું કરવું? મોટી મોટી આંખોવાળી પરી પાસે બે પાંખો હતી. પાંખો સુંદર અને રંગબેરંગી.
ચકીને થયું, મારી પાસે બે પાંખો તો છે જ. પરીની પાંખો મોટી તો મારી પાંખો નાની, પણ પાંખો છે તો ખરી ! હું પણ એને શણગારીશ. આ ભૂખરી ભૂખરી પાંખો સારી નથી લાગતી.
ચકી જંગલમાં ખૂબ ફરી. નાના નાના સુંદર રંગબેરંગી પીંછાઓ શોધ્યા. એને ઘણાં મોરપીંછ પણ મળ્યા. બધું વીણીને એ ઘેર લઈ ગઈ.
ચકીની મમ્મી કહે – આ બધું શું લાવી ?
ચકી કહે – મારે પરી જેવું સુંદર બનવું છે.
મમ્મી કહે – તું સુંદર જ છે. ચકલી જેવી સુંદર. કોઈના વાદ ના કરાય.
પણ ચકી ન માની.
એણે કાતર લઈને રંગીન પીંછાઓને નાનાં નાનાં કાપ્યાં.
મોરના પીંછામાંથી સુંદર રંગીન ચાંદલા કાતર્યા અને પછી ગુંદર લઈને બેઠી.
એણે એની એક ફ્રેન્ડને બોલાવી અને કહ્યું કે તું આ બધું મારી પાંખો પર ચોંટાડી દે. પેલીએ તો એમ કરી દીધું !
ચકીને થયું – હું અરીસામાં તો જોઉં કેવી લાગું છું ?
એ અરીસા તરફ ઊડવા ગઈ પણ ઉડાયું જ નહીં. પાંખો ભારે થઈ ગઈ હતી. એ ધીમે ધીમે ચાલતી ચાલતી ગઈ. એની પાંખોનો વજન વધી ગયું હતું. એને ચાલતાં યે થાક લાગતો હતો. માંડ માંડ એ અરીસા સુધી પહોંચી.
એણે અરીસામાં જોયું. એને જરાય ગમ્યું નહીં, એ બહુ વરવી લાગતી હતી. જરાય સારી લાગતી નહોતી.
એણે ગુસ્સે થઈને અરીસા પર ચાંચો મારવા માંડી. અરીસો બિચારો શું કરે એ તો જડ વસ્તુ !
ચકી વધારે ગુસ્સે થઈ. એણે વધારે જોરથી ચાંચો મારી ને એની ચાંચ તૂટી ગઈ.
એવામાં એની મમ્મી આવી – અરે, આ શું કરે છે?
ચકી રડવા લાગી – હું પરી જેવી સરસ નથી લાગતી.
ચકીની મમ્મીએ એને સમજાવી – બેટા, તું સાવ ખોટું વિચારે છે. તું સરસ જ છે. એ પરી જેવી સરસ. તું ચકલી જેવી સરસ. એ જુદી અને તું પણ જુદી. આવું ના કરાય બેટા.
પછી એની મમ્મીએ માંડ માંડ ચકીની પાંખો ધોઈ. ગુંદરથી ચિપકાવેલા બધાં પીંછા અને ચાંદલા કાઢ્યા.
ચકીને બહુ દુઃખ્યું પણ શું થાય ?

એણે સંકલ્પ કર્યો કે હવે કદી આવું નહીં કરું હવે કદી કોઈના વાદ નહીં કરું.
મમ્મી કહે – તો હવે શું કરીશ ?
ચકી કહે – વડદાદા પાસે જઈને ભણીશ, ગીતો ગાઈશ અને પાણીમાં નહાઈશ.
મમ્મી – વાહ મારી વહાલી દીકરી !
મમ્મીએ ચકીને બાથ ભરીને પપ્પી કરી લીધી.
( ‘એક હતી વાર્તા’માંથી)
-
મોબાઈલમાં વાઘ
ગિરિમા ઘારેખાન
રાજુ અને મોહિત બે ભાઈઓ હતા. રાજુ તેર વર્ષનો અને મોહિત આઠ વર્ષનો. એ લોકો એક નાના શહેરમાં રહેતા હતા. શાળામાં વેકેશન પડ્યું હતું. એમના ઘણા મિત્રો એમના મમ્મી-પપ્પા સાથે ફરવા ઉપડી ગયાં હતાં. કોઈ સીમલા ગયું હતું તો કોઈ ગોવા. કોઈ વળી યુરોપ કે અમેરિકા પણ ગયાં હતાં. રાજુ અને મોહિતને ઘરમાં કંટાળો આવતો હતો. રાજુ તો ક્યારેક એના મોબાઈલ ઉપર થોડી રમતો રમી લેતો. પણ નાનો મોહિત બહુ કંટાળતો હતો.
એક દિવસ ગામડે રહેતા એમના મામા એમને ઘેર આવ્યા. એમણે એમના ભાણીયાઓને કહ્યું, ‘ચાલો મારી સાથે ગામડે. ત્યાં ખેતરોમાં ફરો, સાંકળ સાતતાળી, મોઈ દંડો, નાગોળચું, જેવી દેશી રમતો રમો. આખો દિવસ ટી. વી. જોયા કરો છો એના કરતાં તમને ત્યાં બહુ મજા પડશે.’
રાજુ અને મોહિત તો મામાની સાથે પહોંચી ગયા એમના ગામડે. ત્યાં એમને નવા ભાઈબંધો પણ મળી ગયાં. ખાસ કરીને મોહિતને તો એના આ નવા મિત્રો સાથે નવી નવી રમતો રમવામાં બહુ આનંદ આવતો. આંબલી પીપળીની રમતમાં ઝાડ ઉપર ચડીને પછી નીચે ભૂસકા મારવાનું એને બહુ ગમતું. મામાના ગામની બહારથી જ એક જંગલ ચાલુ થતું હતું. એટલે ત્યાં ઝાડ પણ બહુ હતાં.
હવે બન્યું એવું કે થોડા દિવસથી આ ગામમાં એક દીપડો પેધો પડ્યો હતો. એ રાત્રે ગામમાં આવતો અને કોઈની બકરી, કોઈનું ઘેટું, જે નાનું પ્રાણી એના હાથમાં આવે એને ઉઠાવી જતો. લોકો બહુ ડરી ગયાં હતાં. બધાંએ પોતપોતાના બાળકોને કહી દીધું હતું કે અંધારું થાય એ પહેલાં ઘરમાં આવી જવાનું.
એક દિવસ સાંજે મામા ખેતરેથી ઘેર આવ્યા ત્યારે મોહિત ઘરમાં ન હતો. રાજુ મામીને કામમાં મદદ કરતો હતો. મામાએ પૂછ્યું,
‘રાજુ, બેટા, મોહિત કેમ દેખાતો નથી ?’
‘મામા, એ બાજુવાળા કોકિલામાસીને ઘેર રમવા ગયો છે.’ રાજુએ જવાબ આપ્યો.
‘તો તો એમના ભરત સાથે રમતો હશે. હમણાં ઘેર આવી જશે.’
કહીને મામા નહાવા માટે ગયા. મામી ગાયોને દોહવા ગયાં. અંધારું થવા માંડ્યું હતું. હવે રાજુને મોહિતની ચિંતા થવા માંડી. મોહિત ક્યારેય કોઈને ઘેર આટલું બધું રમતો ન હતો. એ બાજુવાળા કોકિલા માસીને ઘેર પૂછવા ગયો. ત્યાં એમના દીકરા ભરતે થોડું ડરતાં ડરતાં જણાવ્યું કે એણે અને મોહિતે દોડવાની હરીફાઈ કરી હતી અને બંને જંગલ તરફ દોડ્યા હતા. પણ થોડા સમય પછી મોહિત બહુ આગળ નીકળી ગયો અને દેખાતો બંધ થઇ ગયો એટલે એ તો ઘેર પાછો આવી ગયો હતો.
હવે રાજુને મોહિતની ખૂબ ફિકર થઇ ગઈ. એનો ભાઈ જંગલમાં ભૂલો પડી ગયો હશે તો! ત્યાં એનો ભેટો દીપડા સાથે થઇ જશે તો ! એણે એના નાના ભાઈને શોધવા જવું જ જોઈએ અને હમણાં જ જવું જોઈએ. એ તો મામાને જણાવવા પણ ન રહ્યો અને નીકળી પડ્યો જંગલ તરફ.
જંગલમાં ઘણા બધા વૃક્ષો હતાં એટલે અંધારું વધારે લાગતું હતું. પોતપોતાના માળામાં પાછા ફરી ગયેલા પંખીઓનો કલશોર સંભળાતો હતો. ઝાડીઓમાંથી તમરાંનો અવાજ આવતો હતો અને ચારે બાજુ આગિયા ઊડી રહ્યાં હતાં. રાજુને ડર તો લાગતો હતો પણ નાના ભાઈને યાદ કરીને એ હિંમત મેળવી લેતો હતો. એના ખીસામાં એનો મોબાઈલ હતો. એણે મોબાઈલ હાથમાં લઈને એની બેટરી ચાલુ કરી અને એના અજવાળામાં આગળ વધતો રહ્યો.
ત્યાં તો અચાનક નજીકની ઝાડીમાંથી દીપડાની ત્રાડ સંભળાઈ. રાજુ થથરી ગયો. હવે શું કરવું ? એ જો દોડવા માંડે તો પણ દીપડો એની ઝડપથી થોડી વારમાં જ એની નજીક આવી જાય. ત્યારે રાજુને એના મોબાઈલમાં રહેલી એક એપ યાદ આવી ગઈ. એના પપ્પાએ જંગલના પ્રાણીઓને બહુ નજીકથી જોવા માટે એ એપ ડાઉન લોડ કરી આપી હતી. એ ચાલુ કરે તો વાઘ, સિંહ, જેવા પ્રાણીઓ એમના સાચુકલા રંગ અને કદ સાથે સામે જ આવીને ઊભા રહ્યાં હોય એવું લાગતું.
દીપડાનો અવાજ હવે નજીક આવવા માંડ્યો હતો. રાજુએ મોબાઈલની પેલી એપ ચાલુ કરી. ત્યાં તો દીપડાની તગતગતી બે આંખો દેખાઈ. રાજુએ એપમાંથી વાઘને કાઢીને એની અને દીપડાની વચ્ચે મૂકી દીધો. હવે સાચૂકલો લાગતો વાઘ દીપડા તરફ મોં ફાડીને ઊભો હતો અને ત્રાડ નાખી રહ્યો હતો. રાજુના હાથના હલાવવાથી એ ધીરે ધીરે દીપડા તરફ આગળ વધી રહ્યો હતો. એ જોઇને દીપડો તરત જ પાછો ફરી ગયો અને ઝાડીઓમાં ગૂમ થઇ ગયો. એ એપ ચાલુ જ રાખીને રાજુ ઘર તરફ વળ્યો. પણ ભાઈને એ શોધી ન શક્યો એટલે એને રડવું આવતું હતું.
ત્યાં તો અચાનક બાજુના એક ઝાડની ઉપરની ડાળીએથી અવાજ આવ્યો, ‘ભાઈ!’
રાજુએ ઉપર જોયું. ત્યાં ઝાડની બે ડાળીઓની વચ્ચે મોહિત બેઠેલો હતો. રાજુને જોઇને એણે લગભગ ઉપરથી ભૂસકો જ માર્યો. રાજુએ એને ઝીલી લીધો. રસ્તામાં મોહિતે એને જણાવ્યું,
‘ભાઈ, દોડવાની રેસમાં હું બહુ આગળ નીકળીને જંગલ સુધી પહોંચી ગયો હતો. અંધારું થવા માંડ્યું હતું. મને ઘેર પાછા ફરવાનો રસ્તો પણ યાદ આવતો ન હતો. એટલામાં મને દીપડાનો અવાજ સંભળાયો. એટલે હું ઝાડની ઊંચી ડાળી ઉપર ચડીને બેસી ગયો હતો. મને ખબર હતી કે તમે બધાં મને શોધવા આવશો જ.’
રાજુએ મોહિતના માથે હાથ ફેરવ્યો અને એનો હાથ પકડીને ઝડપથી ઘર તરફ ચાલવા માંડ્યો. ત્યાં તો એમને શોધવા નીકળેલા મામા અને એમના મિત્રો સામે મળી ગયાં. બધાએ એમની વાત સાંભળીને એમની બહાદુરી અને સમયસૂચકતાના બહુ વખાણ કર્યા. ખાસ કરીને મોબાઈલનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરવા માટે રાજુને બહુ શાબાશી આપી.
https://www.androidauthority.com/google-3d-animals-1150271/
[ઉપર મોબાઈલ માં પ્રાણીઓ જોવા માટેની લીંક આપી છે.]
[બાલ આનંદ – ઓગસ્ટ ૨૦૨૪ ]
ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯
-
સંભારણું – ૧૩ જેવી કરણી તેવી ભરણી
શૈલા મુન્શા
જેવી કરણી તેવી ભરણી એ કહેવત પરથી મારી સખીએ કહેલી વાત યાદ આવી ગઈ.

વર્ષો પહેલાની વાત છે. મહારાષ્ટ્ર ગુજરાત હમણાં હમણાં જ તો બે જુદા રાજ્યો બન્યા હતાં. મુંબઈ ભલે મહારાષ્ટ્રની રાજધાની નહોતું, પણ એની ગણના નાણાકીય પાટનગર જેવી જ હતી. એનો દબદબો, શોભા એ જાળવી રહ્યું હતું, અને એનું એક ઉપનગર વિલે પાર્લે એક સાંસ્કૃતિક ધામ જેવું ગણાતું. જુની બાંધણીના બંગલાઓ એની જાહોજલાલી હતી.
એવી જ એક વાડીના બંગલામાં એક ધનાઢ્ય મારવાડી કુટુંબ રહેતું હતું. મબલખ પૈસો અને છોગામાં પિતા વ્યવસાયે ડોક્ટર. બાપ દાદાના જમાનાથી જમીનમાં રોકાણ, અને હજી તો જ્યાં જનજીવન એટલું વિકસ્યું નહોતું ત્યાં પણ કેટલાય એકર જમીન ખરીદી રાખી હતી. બાંકેલાલજીને તો પોતાના ડોક્ટરી વ્યવસાયમાં જરાયે ફુરસદ નહોતી કે જમીનની જાળવણી કે દેખભાળ કરે. બોરીવલીની આગળ તો કોઈ જવાની પણ કલ્પના ના કરે ત્યાં એમણે કેટલીક જમીન ખરીદી રાખી હતી, આ જમીન પર ત્યાંના માફિયાઓની નજર ગીધની જેમ મંડરાતી રહેતી. શરૂઆતમાં તો બાંકેલાલ પાસે જમીન ખરીદવા ફોન આવતાં, પણ સાવ પડતર ભાવે જમીન વેચવા બાંકેલાલ તૈયાર નહોતા.
એમનું કુટુંબ પણ વૃધ્ધિ પામી રહ્યું હતું, બે દીકરા અને બે દીકરીઓથી ઘર ભર્યું ભર્યું હતું. બાળકો મોટા થતાં જતા હતાં અને ભવિષ્યમાં એ જમીન પર ઘર બાંધવાના મનસુબા બાંકેલાલના મનમાં ઘોળાતા.
મોટો દીકરો સ્વભાવે થોડો ધુની, ભણ્યો તો ખરો પણ Autistic. એ જમાનામાં માનસિક વિકલાંગ બાળકોના આ પ્રકાર વિશે લોકોને પુરતી માહિતી નહોતી. Autistic બાળકો ઘણા હોશિયાર હોય, પણ દરેક બાબત એમની મરજી મુજબ થવી જોઈએ. લોકો મોહનને અર્ધા ગાંડામાં જ ગણી લેતા અને શહેરમાં એના લગ્ન માટે યોગ્ય કન્યા મળવાની મુશ્કેલી હોવાથી બાંકેલાલ દૂર ગામડેથી કન્યા શોધી લાવ્યા. મારવાડી રિવાજ મુજબ કન્યાના માતાપિતાએ દીકરીને મોટું દહેજ પણ આપ્યું. મબલખ પૈસો હોવાં છતાં ચમડી તૂટે પણ દમડીના છૂટે એવા સ્વભાવ વાળા બાંકેલાલે બીજા જ વર્ષે વહુના દહેજને પોતાની દીકરીને પરણાવવામાં આપી દીધું.મોહનની પત્નીથી આ સહન ના થયું, પતિને કહેવાનો તો સવાલ જ નહોતો, કારણ બાંકેલાલ સામે ઘરમાં બોલવાની કોઈની તાકાત નહોતી. સાસુ અને નણંદની જોહુકમી અલગથી!!
વહુએ દીકરાને જન્મ આપ્યો પણ પતિનું ધુનીપણું અને સાસરિયાના ત્રાસથી કંટાળી પંદર દિવસના બાળકને લઈ પાડોશીની મદદથી એણે રાતોરાત પિયરની વાટ પકડી લીધી. થોડા વખતમાં જ મોહનને ભર બપોરે બજાર વચ્ચે માફિયાઓએ ચાકૂના વાર કરી રહેંસી નાખ્યો અને ધમકી આપતાં ગયા કે કોઈ એના શરીરને હાથ પણ લગાડશે તો એની પણ ખેર નહિ રહે.
આટલી ધમકી પછી પણ બાંકેલાલ જમીન વેચવા તૈયાર નહોતા. મુંબઈ વિકસી રહ્યું હતું. લોકો વસઈ, વિરાર સુધી રહેવા જવા લાગ્યા હતાં અને જમીનના ભાવ વધવા માંડ્યા હતાં. મોટા દીકરાના કમોતના આઘાતમાં મા પણ દુનિયા છોડી ગઈ પણ બાંકેલાલની વિચારધારા ના બદલાઈ.
બીજા દીકરાને પરણાવવા પાછો એ જ રસ્તો અપનાવ્યો. દૂર ગામડેથી છોકરી શોધી લાવ્યા. મોટા દહેજ સાથે કન્યા ઘરે આવી.
કહેવત છે કે હાથના કર્યાં હૈયે વાગ્યાં એ જ હાલત બાંકેલાલની થઈ. મોટી દીકરીના સાસરિયાં પણ એવા જ માથાભેર મળ્યાં. બાંકેલાલની સંપત્તિની એમને ખબર હતી અને વહુને રોજ વધુ દહેજ માટે સતાવવા માંડ્યા, છેવટે થાકીને દીકરી પાછી ઘરે આવી ગઈ.
નાની દીકરીને પરણાવી તો ખરી પણ છ મહિનામાં જ એનો પતિ રેલ્વે અકસ્માતમાં મૃત્યુ પામ્યો અને સાસરિયાએ વહુને છપ્પરપગી, વરને ભરખી જનારી કહી ઘરમાંથી કાઢી મુકી.
બાંકેલાલનો નાનો દીકરો એંજિનિયર થઈ નોકરી અર્થે બેંગલોર રહેતો હતો, મહિને બે મહિને અઠવાડિયું રજા પર ઘરે આવે. ઘરમાં બે નણંદોને નાની વહુ પર દાદાગીરી કરવા મોકળું મેદાન મળી ગયું.
પોતાના પર થયેલ ત્રાસનો બદલો નાની વહુને સતાવી લેવા માંડ્યા. થોડો વખત તો વહુએ સહન કર્યું, પતિને ફરિયાદ પણ કરી પણ કાંઇ વળ્યું નહિ. સામેના બંગલામાં રહેતા રમેશ જોડે દિલ મળી ગયું અને એક રાતે ઘરની તિજોરી સાફ કરી વહુ રમેશ સાથે ભાગી ગઈ. વહુ પણ ગઈ અને પૈસા પણ ગયા એ આઘાતમાં બાંકેલાલ પણ હ્રદયરોગના હુમલામાં મરણ પામ્યા.
ઘરમાં બે દિકરીઓ અને ભાઈ રહ્યાં પણ કોઈને ખબર નહોતી કે વસઈની જમીનના કાગળીયાં ક્યાં છે અને માફિયાઓએ તો ક્યારની એ જમીન પચાવી પાડી ત્યાં બહુમાળી ઈમારતો ખડી કરી દીધી હતી.
થોડા જ વખતમાં ભાઈનુ કાર એક્સિડન્ટમાં અવસાન થયું અને મોટી બહેન કેન્સરના રોગમાં રિબાઈ રિબાઈને મરી.વિલે પાર્લેમાં વસતી વધવા માંડી. સાઉથ મુંબઈ પછી પાર્લા ખરીદીના ક્ષેત્રમાં પણ આગળ પડતું ઉપનગર ગણાવા માંડ્યું વાડીઓ તૂટી મકાનો બનવા માંડ્યાં. મોટી મોટી કંપનીઓ કરોડોની કિંમતે જમીન ખરીદવા માંડી. બાંકેલાલના બંગલાનો પણ પચાસ કરોડમાં સોદો થયો અને નાની દીકરીને નવા બંધાયેલા બિલ્ડીંગમાં એક ફ્લેટ પણ મળ્યો, પણ જીવન એકાકી થઈ ગયું. પૈસાનો સદુપયોગ કરી દાન ધરમ કરવાનો વિચારના આવ્યો, ઉલ્ટું સહુને શંકાની નજરે જોતી થઈ ગઈ, જાણે સહુ એનો પૈસો હડપવાની જ તૈયારીમાં હોય!!
મબલખ પૈસો હાથમાં તો આવ્યો, પણ આખું કુટુંબ લોભને કારણ તિતર બિતર થઈ ગયું. કહેવત આવા માણસો પરથી જ પડતી હશે કે “લોભિયા હોય ત્યાં ધૂતારાં ભુખે ના મરે” અને “જેવી કરણી તેવી જ ભરણી”.
આપણી કહેવતોમાં કેટલું સામર્થ્ય હોય છે એ આ સંભારણાંએ તાજું કરી આપ્યું.
અસ્તુ,
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
એક ‘પુલકિત’ પરિચય
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
‘તમને સાહિત્યમાં રસ હોય, ઠીક ઠીક પુસ્તકોનું વાચન કર્યું છે એવું માનતા હો અને તમને પુ લ, ના નામની ખબર ના હોય તો તમે મહારાષ્ટ્રીયન તો નથી જ પરંતુ હું તમને ગુજરાતી માનવા પણ તૈયાર નથી.’ પુ લ ના ગુજરાતી ભાષામાં અનુવાદ પામેલા પુસ્તકોની સંખ્યા બેચારની જ હશે. પરંતુ એ વાંચ્યા બાદ તમને મારાં આ કથનમાં અતિશયોક્તિ દેખાશે નહિ.
હાસ્યલેખક વિનોદ ભટ્ટે ક્યાંક એવું લખ્યાની સ્મૃતિ છે કે મહારાષ્ટ્રના હાસ્યલેખક પુ. લ. દેશપાંડેને ત્યાંની પ્રજાએ જેટલા લાડ લડાવ્યા છે તે પ્રમાણે ગુજરાતી પ્રજાએ જ્યોતીન્દ્ર દવેની કદર કરી નથી. વિનોદ ભટ્ટના આ વિધાનમાં ગુજરાતીઓ માટે ફરિયાદના સૂર અને જ્યોતીન્દ્ર દવે પ્રત્યે અહોભાવનું મિશ્રણ છે. અલબત્ત જ્યોતીન્દ્ર દવે ગુજરાતી ભાષાના એક મોટા હાસ્યલેખક હતા એ બાબતે બેમત છે જ નહિ, ઉપરાંત મહારાષ્ટ્રની પ્રજાનાં પ્રમાણમાં ગુજરાતના લોકોનો સાહિત્ય પ્રત્યેનો ઓછો લગાવ પણ જાણીતો છે. બીજા ગુજરાતી લેખકોને જેમ ગુજરાતી પ્રજાએ જ્યોતીન્દ્ર દવેને પણ ઓછા વાંચ્યા હશે. પરંતુ પુ લ ના નામથી જ વિશેષ ઓળખાતા એવા પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે(૧૯૧૯થી ૨૦૦૦)ની ઓળખ માત્ર હાસ્યલેખકની તરીકેની જ નથી. તેઓ હાસ્યકાર, નાટ્યકાર, પટકથાલેખક, ફિલ્મનિર્માતા, નાટકના તેમજ સંગીતના દિગ્દર્શક, પરફોર્મર, સામાજિક કાર્યકર, વક્તા અને અભિનેતા પણ હતા. એથી તો તેમને ચોસઠ કળાના જાણકાર કહેવાયા છે. મહારાષ્ટ્રની સામાન્ય પ્રજામાં તેમની ઓળખ હાસ્યલેખક કરતાં એક મોટા નાટ્યકાર, સંગીતકાર અને મિમિક્રી કલાકાર તરીકેની વિશેષ છે અને એ જ તેમની અસાધરણ લોકપ્રિયતાનું કારણ છે. પરંતુ અહીં આપણે પુ લનાં અરુણાબા જાડેજા દ્વારા અનુવાદિત એક પુસ્તક ‘પુલકિત’ના અને મુખ્યત્વે તેના આઝાદીનાં પચીસ વર્ષે લખાયેલા પ્રકરણ ‘એક ગાંધીટોપીનો પ્રવાસ’ મારફત પુ લને માત્ર સાહિત્યકાર અને ખાસ કરીને હાસ્યલેખક તરીકે જોવા છે.પુ લ ની ખૂબી એ છે કે તમે એમનાં લખાણોને ગંભીર લેખ તરીકે વાંચવા જાઓ તો તમને હાસ્યલેખ વાંચતા હો તેમ લાગે અને જો હાસ્યલેખ સમજીને વાંચવાની શરૂઆત કરો તો તમને એ લખાણમાં ગંભીરતાનો અનુભવ થયા વિના રહેશે નહિ. તેમના લેખોમાં હાસ્ય સાધ્ય નથી પરંતુ ગંભીર બાબતો સમજાવવા માટેનું સાધન માત્ર છે એટલું જ નહિ તેમણે ઘણુંખરું લખ્યું છે પણ એક જાગૃત અને સંવેદનશીલ નાગરિક તરીકે સમાજને જોવાની દૃષ્ટિને કારણે.
‘પુલકિત’ના અનુવાદની પ્રસ્તાવનામાં અરુણાબા જાડેજાએ લખ્યું છે,
“પુ લનાં સાહિત્યમાં જોવા મળતો શિરમોર સમો તો છે એમનો જાગ્રત સામાજિક દૃષ્ટિકોણ. જોવાનું તો એ છે કે લોકોને હસાવનારા આ લેખક સાહિત્યની સાંકળ વિષે અતિ ગંભીરતાથી સમજાવે છે. અને એ જ મુદ્દો વાચકને વિચાર કરતો કરી મૂકે છે. ભલે ને એમની બોલબાલા હાસ્યલેખક તરીકેની થઈ હોય. પણ ખાસ તો એમની સામાજિક સંપ્રજ્ઞતાએ મહારાષ્ટ્રીયનોને આકર્ષ્યા. પ. પૂ. શ્રી સાને ગુરુજીના સંસ્કારોને લીધે એમનામાં સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા આવી હતી.”
તેમનું સાહિત્યસર્જન વિશાળ છે. પરંતુ તેમનાં ગુજરાતીમાં આનુવાદિત થયેલા માત્ર બે પુસ્તકો વાંચવાથી જ તેમની પ્રતિભાના દર્શન થયા વિના રહેશે નહિ. એ બે પુસ્તકો છે અરુણાબા જાડેજા સંપાદિત ‘પુલકિત’ અને બીજું શકુંતલા મહેતા દ્વારા સંપાદિત ‘ભાત ભાતકે લોગ’. પુલકિતમાં વિષયોનું વૈવિધ્ય છે જ્યારે ‘ભાત ભાત કે લોગ’ વ્યક્તિ ચિત્રો છે. એ બન્ને ઠેકાણે હાજર છે ‘ચિતળે માસ્તર’ જેને વાંચ્યા પછી તેનું બન્ને પુસ્તકોમાં હોવું અકારણ નહિ લાગે.
પુ લના વિદ્વાન નાનાજી શ્રી વામન મંગેશ દુભાષી ગાંધીભક્ત હતા અને તેમનાં પત્ની સુનીતાબાઈ રાષ્ટ્ર સેવા દળમાંથી આવેલાં. એથી દેશભક્તિ અને ગાંધીજીના વિચારો તો ઘરમાં જ હાજર હતા. તેમનાં ખાનપાન અને રહેણીમાં ક્યાંય ગાંધીજી દૃષ્ટિગોચર થતા નહિ, તો પણ ગાંધીજીને તેમણે ભલભલા ગાંધીવાદીઓ કરતા વિશેષ આત્મસાત કર્યા હતા. પોતે ગાંધીજી સાથે કઈ રીતે જોડાયા તે બાબતે તેમણે એક આખું પ્રકરણ ‘પુલકિત’માં લખ્યું છે જેનું શીર્ષક છે “જ્યારે મારો નાતો એક સૂર્ય સાથે જોડાયો હતો.”!
‘એક ગાંધીટોપીનો પ્રવાસ’ માં ગાંધીટોપી એ ગાંધીજીનાં મૂલ્યો કે સિધ્ધાંતોનું પ્રતીક છે. આઝાદીના આંદોલન દરમિયાન શરૂ થયેલો આ ટોપીનો પ્રવાસ આઝાદી પછી અધ:પતન પામીને ક્યાં પહોંચ્યો તેનું વર્ણન વાંચતા હોઇએ ત્યારે ગાંધીમુલ્યોનો હ્રાસ થવાની પ્રક્રિયા જાણે ચલચિત્રમાં જોતા હોય તેમ લાગે છે.
પુ લનાં બાળપણના દિવસો તો દેશની ગુલામીના હતા એ સમયનું વર્ણન કરતા તેઓ લખે છે,
“ મારું બાળપણ વિલેપાર્લેમાં ગયું-એટલે મુંબઈને બીજે છેડે, સાહેબ કોલાબામાં કે મલબાર હિલ પર-આજકાલ ભારતના નવધનિકો અને પ્રધાનોનાં જ્યાં આલીશાન રહેઠાણો છે ત્યાં રહેતો. આથી એનાં દર્શન તો દુર્લભ જ! ના ના કહીએ તો સહેજે સેંકડો અંગ્રેજ સ્ત્રીપુરુષો શનિ-રવિમાં જુહૂના દરિયે નાહવા જતા, અમારા ગૌરાંગપ્રભુ અને ગૌરાંગનાદેવીઓનાં(ખાસા ઉઘાડા) દર્શન ત્યાં થતાં, પણ એય દૂરથી! કારણ કે સાહેબનો કુટુંબકબીલો જે પાણીમાં ઉતરતો ત્યાં ડુબકી મારવા જવાનું જિગર અમારામાં નહોતું. ટૂંકમાં સાહેબ છેટો જ હતો.”
“એમ તો અમને એમની કાંઇ ડાયરેકટ કનડગત નહોતી. મારા બાપુ એક દેશી કંપનીમાં હોવાથી ઘરમાં જેક્સન કે જોન્સન સાહેબની વાતો જામતી નહિ. સદભાગ્યે અમારા કે પછી મોસાળનાં ખનદાનમાં પણ કોઇ રાયબહાદુર પાક્યો નહિ. આથી અમારા ઘરમાં સાહેબનો ફોટો કૃતજ્ઞતાપૂર્વક ટાંગેલો નહોતો. નાનપણમાં અંગ્રેજ સત્તાના જુલમ કરતા ગણિત, ભૂગોળ, વ્યાકરણ, કક્કો વગેરે શિખવાડનારા માસ્તરોનો જુલમ વધું હતો”
પુ લ જ્યારે બીજી અંગ્રેજીમાં આવ્યા ત્યારે ગાંધીજીની ચળવળ શરૂ થઈ ચૂકી હતી અને પછી તો ચોતરફ -ગાંધી- ગાંધી -ગાંધી જ સંભળાતુ, પણ દરેક વખતે ગાંધીજીના માનમાં જ નહિ ક્યારેક મજાકમાં અને ગુસ્સામાં પણ. જો કે પુ લનાં પરિવારમાં તો ગાંધીજી પ્રત્યે આદરભાવ જ હતો. પોતે ગાંધીજી સાથે જોડાયા (અલબત્ત માનસિક રીતે) તે અંગે લખે છે,
“ મારા આઠમાં વર્ષે માથા પરથી કાળી ટોપી ગઈ અને ગાંધીટોપી ચઢી. મેટ્રિક થતાં સુધી એનો મુકામ માથા પર હતો. અઠવાડિયે ક્યારેક તેને નાહવા મળતું. એમ તો આ ટોપી ડાહીડમરી! ધોઈને ગડી વાળીને સહેજસાજ થાબડો એટલે શિરોધાર્ય થતી. એ ટોપીની માફક ગાંધીજીએ અમારાં નનકડાં માથાનો કબજો લીધો હતો. પણ એમના રૂબરૂ દર્શન થયાં નહોતાં.”
પુ લ ને ગાંધીજીનાં પહેલવહેલાં દર્શન થયા મુંબઈમાં પશ્ચિમ પાર્લાનાં એક ચર્ચમાં યોજાયેલી એક સભામાં. તેમના નોંધ્યા મુજબ ગાંધીજીની કથનશૈલી કોઈપણ જાતના નાટકીય ઉતરચઢ વગરની હતી તો પણ તેઓ લખે છે કે તે દિવસે જેમ મારા પામર જીવનમાં ગાંધીજી પેઠા તેવા સેંકડોના જીવનમાંય ગજબની સહજતાથી પેઠા. પછીનાં કેટલાય વર્ષો ગાંધીમય થઈ રહ્યાં. અસંખ્યોના માથા પર ગાંધીટોપી દેખાવા લાગી હતી અને શરીર પર ખાદી ચઢી હતી. કાંતણકામના વર્ગો શરૂ થયા. ગાંધી સાથે જોડાયેલા લોકો પ્રમાણિકતાની મિસાલ બન્યા તે એટલે સુધી કે જેલમાં જતી વખતે પોતાનાં ઘરેણા કોઈને સોંપતી બહેનોને પૂછવામાં આવે કે તમને આમારા પર વિશ્વાસ કેમ આવે છે? તો બહેનો કારણ બતાવતા કહેતી કે તમે ખાદી પહેરેલી છે!, કોઇપણ સાધુસંત કરતા ખાદી પહેરેલો જણ જનમાનસમાં વધુ પવિત્ર હતો.
વિદેશી માલના બહિષ્કારની ચળવળમાં સામાન્ય માણસોના બલિદાનોની વાત પુ લ એક ઉદાહરણ આપીને કહે છે. બાબુ ગેનુ નામના એક મજૂરે વિદેશી માલ ભરેલી લોરી ‘ આગળ નહિ જવા દઉ’ એવા નિરધાર સાથે પોતાની જાતને એ લોરી નીચે કચડાવી મારી હતી.
એ સમયે ગાધીજીના વિરોધી સમુદાયની પુ લએ કરેલી વાતની નોંધ પણ લેવી રહી. બાબુ ગેનુનાં બલિદાન જેવા સેંકડો દાખલાઓ નજર સમક્ષ બનતા હોવાછતાં આ ચળવળ હવે ક્યાં પહોંચી છે તેનું ભાન ગાંધીજીના વિરોધમાં આ અંધ થયેલા લોકોને થતું ન હતું. પુ લ ના શબ્દોમાં કહીએ તો એમાં પ્રગતિશીલ(?) રાવબાહદુરોય ખરા! હિંદુત્વવાદીઓમાંના મોટા ભાગનાની તો ‘આપણે ટિળક સંપ્રદાયના છીએ’ એવી ગેરસમજ પણ હતી. કમ્યુનિસ્ટોનો જુદો ચૂલો હતો. પણ એમાંના ડાંગે, પાટકર , મિરજકર, રણદીવે જેવા નેતાઓએ પારાવાર ત્યાગ કર્યો હતો. ‘હિંદુમહાસભાના’ અનુયાયીઓમાં એમની તોલે આવે કોઈ નહોતો. હિંદુમહાસભાના અનુયાયીઓની સાદાઇ તો નોકરી-વ્યવસાયમાં માપસરના આર્થિક મળતરને કારણે હતી. ગાંધીજીની ચળવળનું સામર્થ્ય જ તેમનાં ધ્યાનમાં આવતું નહોતું. એમને તો ગાંધીજી બસ મુસલમાન તરફી જ લાગતા. ગોરા સાર્જન્ટ કે સોલ્જરિયાએ કરેલા અત્યાચારીનો નિષેધ કરવા કરતા મુસલમાન ગુંડાએ કરેલા બળાત્કાર વખતે એમની જીભ અને કલમને જોર ચઢતું!”
હિંદુત્વવાદીઓની બહાદુરી કેવી હતી તેનું વર્ણન ઉદાહરણ આપતા તેમણે લખ્યું છે, .
“મુંબઈમાં હુલ્લડો ફાટ્યાં હતાં. પાર્લામાં કોક બત્તીવાળો, કે કોક છત્રી સમારવાવાળો કે કાચવાળો વહોરો બાદ કરતાં મુસલમાનો સાથે પનારો પડતો નહિ. તોય ‘આત્મરક્ષણ’ માટે હિંદુઓના ચોકીપહેરા શરૂ થયા. બધા *ડોન ક્વિક્ઝોટના ભાઈઓ! રાતબેરાત લાઠીઓ ઠોકતાં ઠોકતાં અમથા ફર્યા કરવું. દુશ્મનો સામે લડવા માટે મોકાની જગ્યાએ મોરચો માંડવો પડે એમ કહીને પહેરો બંગલાની અગાશી થતો! અમારી મિત્રમંડળી એકાદો કાર્યક્રમ પતાવીને રાત્રે ઘરે પાછી ફરતી હતી. મોટેથી વાતોના તડાકા મારતા અમે જઈ રહ્યા હતા. એટલામાં અગાશી પરથી ‘હિંદુત્વરક્ષકો’ની બૂમ સંભળાઈ, શત્રુ કે મિત્ર? ’ અમે બરાડ્યા ‘શત્રુ’. હવે ઉપરવાળા ગૂંચવાયા હતા. ‘શત્રુ’ એવો જવાબ મળ્યો છે, હવે આગળ શું કરવું, બેચાર મિનિટ તો કિલ્લામાં સોપો પડી ગયો. અમે પાછા બરાડ્યા “શત્રુ’! ઉપરથી અવાજ આવ્યો, “જાવ …………”
“સ્વતંત્રતાના આટલા હવનકુંડો સળગેલા હોવા છતાં આ લોકો કોણ જાણે કયા ઐતિહાસિક જમાનાની અમથી યુદ્ધકલ્પ્નામાં મગ્ન હતા! બ્રિટિશરો વિરુદ્ધ હરફેય નહોતો. સઘળું બળ અને કળ નર્યું ગાંધીદ્વેષથી ભર્યું હતું. હિંદુમુસલમાનોનાં હુલ્લડોમાં અમારા કોંકણી રામલાઓ અને મિલમજૂરો ગુંડાઓના ટાલકા ફોડવા બહાર પડતા. સોડાવોટરની બાટલીઓની ‘ફ્રી ફાઈટ’માં સીધો ‘તું મારું માથું ફોડ કે હું તારું ફોડું’ એવો જ કાયદો હતો, પણ આ હિંદુધર્મ રક્ષકો માત્ર હવામાં લાઠી વીંઝીને દુશ્મનોના ટાલકાં ફોડવાનાં દિવાસવપ્નો જોતા હતા.”[1]
આ બધું ચાલતું હતું તેવામાં બીજું વિશ્વયુદ્ધ આવી પહોંચ્યું. દેશના એક વર્ગમાં હિટલર અંગ્રેજોનો કાંટો કાઢી નાખશે અને દુશ્મનના દુશ્મનને મિત્ર બનાવીશું તો આઝાદી મળી જશે એવો ભ્રમ સેવાતો હતો. પરંતુ પુ લને યહુદીઓ પર ગુજારેલા ત્રાસને કારણે હિટલરનું વિજેતા બનવું પસંદ ન હતું. સામ્યવાદીઓએ યુદ્ધને તો પ્રજાયુદ્ધ છે તેમ કહીને અંગ્રેજોને સહકાર આપવાનું ઠરાવ્યું. હિંદુ મહાસભાને હિટલરે વપરેલા ‘આર્ય’ શબ્દ અને સ્વસ્તિકનું ચિહ્ન ભલે ઉંધુ હોય તો પણ હિટલર માટે અહોભાવ થયો. પરંતુ પુ લ ને આ બધામાં ગાંધીજી જ મહાન લાગ્યા કારણ કે તેમણે અંગ્રેજોને સાફ સાફ કહી દીધું કે અમારે તો આઝાદી જ ખપે. અમે સ્વતંત્ર નાગરિક તરીકે જ ફાસીવાદીઓની વિરુદ્ધમાં લડીશું.
અને છેવટે આઝાદી આવી અને પેલી ગાંધીટોપીનું શું થયું તે જાણીએ.
આઝાદી તો આવી પણ દેશના ભાગલા, તેને પગલે થયેલા ભયંકર હુલ્લડો, નિરાશ્રિતોના પ્રવાહો અને હિંદુમુસ્લિમ વચ્ચે પ્રવર્તતા કોમી વૈમનસ્ય વચ્ચે સરાકારી ઇમારતો પર ત્રિરંગો લહેરાવા લાગ્યો. વાઇસરોયની લોજમાં ધોતિયાવાળો ‘ગવર્નર જનરલ’ થઈને રહેતો. બીજી બાજુ જેમની સામે કરોડો ભારતવાસીઓએ આશાભરી મીંટ માડી હતી એ ગાંધીબાપુ ઘરબાર છોડીને નોઆખલીમાં હજારોનાં આંસુ લૂછવા માટે ફરી રહ્યા હતા અને પોતાના સાથીદારોને કહી રહ્યા હતા ‘સત્તાની ગાદી પર જશો નહિ.’ પરંતુ અહીં તો દેશમાં રાજ્યે રાજ્યે તેમના ગઈ કાલના નિષ્ઠાવાન અનુયાયીઓ માથે મોડ બાંધીને સત્તાને માયરે પોંખાવા માટે થનગની રહ્યા હતા. બ્રિટિશરોની આંખમાં ખૂંચનારી ગાંધીટોપીનો જે પ્રવાસ પહેલાં જેલ તરફ હતો એ હવે રાજમહેલ તરફ ફંટાયો હતો. જો ટોપી માથા પર હોય તો એક બીડી અમથી ફુંકવાનું ગજુ ચાલતું ન હતું એ ટોપી નીચેનું માથું સત્તાના મદમાં ઝૂમવા લાગ્યું.
લોકશાહીમાં ‘મંત્રી’ નામના નવા નવાબનો જન્મ થયો. એ પણ જૂના નવાબોની જેવો તુક્કાબાજ. એનાથી નાની અમથી ટીકા પણ ખમાતી નહિ અને વેર વાળવાની વૃતિએ દેખા દીધી. ખુદ ગાંધીજીએ જ ઉદગારો કાઢ્યા, “ સત્તાનાં લોહીનો ચટાકો લાગતા શું થાય છે તેના દર્શન મને થયા છે.” પછી તો ગાંધીજીની હત્યા થઈ અને તેમની આંખની શરમ પણ ગઈ, ટોપીનો રસ્તો હવે સાફ થયો.
આઝાદી પહેલાં ગાંધી ટોપીએ સ્વપ્નાં તો સમાજવાદનાં આપ્યાં હતાં, પરંતુ આઝદી આવ્યા બાદ એક બાજુ પાંત્રીસ પાંત્રીસ માળની ઈમારતો ઊભી થઇ અને બીજી તરફ ઝૂંપડપટ્ટીઓ પણ વધતી ગઈ. નવા યુગમાં વૈજ્ઞાનિક અભિગમને બદલે આઝાદી પછી જન્મેલો યુવાનને વિજ્ઞાન વિભાગના પ્રમુખને સત્યસાંઈ બાબાની પાછળ દોડતા જુએ છે. હવે આપણે જ આપણું ભાવિ ઘડવાનું છે એમ કહીને સમાજવાદના જયઘોષ કરતા આગેવાનોને પ્રધાનપદા માટે ગણપતિબાબાની બાધા રાખતા ભાળે છે. ખુદ વડાપ્રધાન તિરુપતિના બાલાજીની કૃપા મેળવવા પહોંચી જાય છે.
કબ્બડી કે કુસ્તીથી માંડીને યુનિવર્સિટિઓ જેવા તમામ ક્ષેત્રોમાં રાજકારણીઓ ધૂસ મારવા લાગ્યા. વિષયની જાણકારી હોય કે ના હોય પરંતુ ‘પ્રધાનપદા’ને ભાષણ ઠોકવાના પરવાના તરીકે ગણવામાં આવ્યું.
આ સિવાય પુ લ એ સમાજનાં દરેક ક્ષેત્રમાં નૈતિક પતનના પ્રતિક તરીકે ગાંધી ટોપીને જોઈ. સૌથી મોટી વિડંબના તેમને એ લાગી કે રાજકારણમાં બધું આવું જ હોય એમ સ્વીકારીને નાગરિકોને કોઠે પડી ગયું.
અંતમાં ગાંધીજીની ચળવળમાં ભાગ લઈ ચૂકેલા એક બુજર્ગ સાથેના નીચે પ્રમાણેના સંવાદ સાથે પુ લ પોતાની વાત પૂરી કરે છે.
એ બુજર્ગને પૂછ્યું “ છેલ્લાં પચીસ વર્ષોમાં સૌથી મોટું પરિવર્તન શેમાં થયેલું લાગે છે?”
“ગાંધીટોપીમાં”
“એ કઇ રીતે?”
“પહેલાં ગાંધીટોપી પહેરતી વખતે અંગ્રેજ સરકારની બીક લાગતી હતી. હવે આપણી જનતાની લાગે છે”
(આ લેખ અરુણાબા જાડેજા દ્વારા સંપાદિત પુસ્તક ’પુલકિત’ -પુ લ ના લેખોનો સંગ્રહ-ના આધારે લખાયો છે.)
[1] સ્પેનિશ નવલકથા ‘ડોન ક્વિક્ઝોટ’ નું પાત્ર. નવલકથાની વાર્તા તેના મુખ્ય પાત્ર ડોન ક્વિક્ઝોટ અને તેના નાઈટ (બ્રિટિશ ઇલ્કાબ knight) હોવાનો ડોળ કરતા દુ:સાહસોની આસપાસ ફરે છે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
