વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • રાવણ દહન – લાઈવ રજૂઆત માટેનું સર્જન

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    https://drive.google.com/file/d/175Xa-wMwsucQv9oVpDFJiMBLNaY8m_MP/view?usp=sharing

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • હા, વ્હેલને એના કાનૂની હક આપવાનો પ્રસ્તાવ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    આપણા જેવા દેશમાં મૂળભૂત માનવ અધિકારો બાબતે ખાસ સભાનતા ન હોય, અને તેનું છડેચોક ઊલ્લંઘન પણ સતત થતું રહેતું હોય એટલે આપણને નવાઈ લાગવાની સાથોસાથ વિચિત્ર પણ જણાય એવી વાત છે. ન્યૂઝીલેન્‍ડની ગ્રીન પાર્ટીના એક સાંસદે એક વિશિષ્ટ પ્રકારના ખરડાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ દેશ ચોફેર પેસિફિક મહાસાગરથી ઘેરાયેલો છે, જેમાં અનેકવિધ પ્રકારની વ્હેલ હોય છે. ટીનાઉ ટુયુનો નામના સાંસદ આ વ્હેલના રક્ષણાર્થે યોગ્ય પગલાં લેવા ઈચ્છે છે. અને આ માટે તેમણે વ્હેલને કાનૂની હક આપતા ખરડાનો પ્રસ્તાવ મૂક્યો છે. એનો અર્થ એ થયો કે ન્યૂઝીલેન્‍ડ ફરતેના દરિયામાં આવેલી વ્હેલ હવે કેવળ માનવોપયોગી નૈસર્ગિક સ્રોત નહીં રહે, બલકે કાનૂની હક ધરાવતી પ્રજાતિ બની રહેશે.

    આ પ્રસિદ્ધિ ખાટવા માટેનું કોઈ ગતકડું હોય એમ લાગતું નથી, કેમ કે, ન્યૂઝીલેન્‍ડ આસપાસ બાવીસ ટકા  વ્હેલ તેમજ અન્ય દરિયાઈ જીવો લુપ્ત થવાને આરે છે. આથી આ ખરડો સહુની સંમતિથી કાયદો બને તો બેફામ માછીમારી, પ્રદૂષણ તેમજ અન્ય માનવીય ગતિવિધિઓ પર નિયંત્રણ લાગે.

    માનવજાત એટલી હદે સ્વાર્થી છે કે કુદરતની દરેક ચીજોને તે પોતાના ઊપયોગની દૃષ્ટિએ જ જોતી આવી છે. પોતાને ખપમાં ન લાગે એવી દરેક વસ્તુ તેને મન નકામી છે. હકીકતે કુદરતમાં એકે એક વસ્તુનું આગવું પ્રયોજન છે, અને તેની પોતાની એક ભૂમિકા છે, અને તેને કારણે એ સૌ વચ્ચે એક પ્રકારે જૈવસંતુલન છે. વ્હેલ પણ આમાંથી શી રીતે બાકાત હોઈ શકે? આર્થિક તેમજ વૈજ્ઞાનિક ઊપયોગ ઊપરાંત પણ કુદરતી રીતે તેનું આગવું મૂલ્ય છે. પેસિફિક મહાસાગરની જૈવપ્રણાલિનું સ્વાસ્થ્ય અને સંતુલન જાળવવામાં તેની મહત્ત્વની ભૂમિકા છે.

    આ હેતુને લક્ષમાં રાખીને પ્રસ્તુત ખરડામાં વ્હેલના કેટલાક ‘મૂળભૂત હકો’ નોંધવામાં આવ્યા છે. કેવા છે વ્હેલના હકો? હિલચાલ અને સ્થળાંતરની આઝાદીનો હક. સ્વસ્થ પર્યાવરણનો હક, જેને કારણે તેમની પ્રજાતિ નૈસર્ગિક અને અપ્રદૂષિત પર્યાવરણમાં પાંગરી શકે. તેમના આવાસ અને પર્યાવરણપ્રણાલિ સાથે છેડછાડ કરવામાં આવે તો તેમના પુન:સ્થાપનનો અને નવજીવનનો અધિકાર. આ બધા ઊપરાંત તેમની નૈસર્ગિક વર્તણૂંક અને સામાજિક તેમજ સાંસ્કૃતિક માળખાના સંરક્ષણનો અધિકાર.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    આ બધું જરા વધુ પડતું ન લાગે?  પહેલી વાત તો એ કે જેમના માટે આ હકો નિર્ધારીત કરવામાં આવ્યા છે એને, એટલે કે વ્હેલને આના વિશે કશી જાણ ન હોય એ સ્વાભાવિક છે. એ પોતે આવી કશી માગણી કરી શકે એમ નથી. એટલે આનો અમલ ન થાય તો પણ એ કશી ફરિયાદ કરવા આવવાની નથી. આમ છતાં, એટલું સમજાય છે કે આનું એક ચોક્કસ મહત્ત્વ છે. આ મહત્ત્વ કદાચ મોડે મોડે પણ સમજાયું છે ખરું.

    આ હકોના વ્યવહારુ અમલને સુનિશ્ચિત કરવા માટે આ ખરડામાં સંબંધિત નિર્ણયકર્તાઓ પર ચોક્કસ પ્રકારની જવાબદારીઓ લાદવામાં આવી છે. આ નિર્ણયકર્તાઓ વ્હેલ અને તેના નૈસર્ગિક પર્યાવરણની સુરક્ષા સાથે સીધા સંકળાયેલા છે. ખાસ કરીને, કોઈ યોજના કે નિર્ણયને કારણે વ્હેલના આવાસ કે તેના હિતને અસર થવાની શક્યતા હોય, ત્યારે સત્તાવાળાઓએ જાહેર હિત અને વ્હેલના હિત — બંનેને ધ્યાનમાં રાખીને વિચારવું પડે એવી જોગવાઈ કરાયેલી છે. પણ આ ખરડો આખરે તો માનવોએ તૈયાર કર્યો હોવાથી અંતિમ નિર્ણય લેવાની સત્તા નિર્ણયકર્તાઓ પાસે જ છે. આમ હોવા છતાં, તેમણે પોતાના અંતિમ નિર્ણયમાં આ અંગેના કાનૂની વિચારવિમર્શનો ઉલ્લેખ કરવો જરૂરી રખાયો છે, જેથી નિર્ણયપ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી જળવાઈ રહે. વાસ્તવમાં, આ માળખું વ્હેલના સંરક્ષણ માટે મજબૂત કાનૂની આધાર બની રહેશે અને માછીમારી, જળવ્યવહાર, સમુદ્રતળના ખનન તથા દરિયાકાંઠાના વિકાસ જેવી પ્રવૃત્તિઓમાં પણ વ્હેલના હકો બાબતે વિચાર કરવામાં આવે એને સુનિશ્ચિત કરશે.

    આ ખરડો કાનૂન બનશે તો પેસિફિક મહાસાગરના વિસ્તારમાં વ્હેલને હક આપનારો પહેલવહેલો કાનૂન હશે. દરિયાઈ સૃષ્ટિની જાળવણીમાં તેની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. કેમ કે, અનેકવિધ માનવીય ગતિવિધિઓને કારણે વ્હેલની સંખ્યામાં સતત ઘટાડો થતો રહ્યો છે. ન્યૂઝીલેન્‍ડની આસપાસના મહાસાગરમાં સમગ્ર વિશ્વનાં અડધાઅડધ દરિયાઈ સસ્તન પ્રાણીઓ નિવાસ કરે છે. આ સંજોગોમાં આવી કાનૂની જોગવાઈ અતિ અગત્યની બની રહે એમાં કોઈ શક નથી. જોવાનું એ રહે છે કે આ ખરડો પસાર થઈને કાનૂનમાં તબદીલ થાય છે કે કેમ.

    એકાદ વરસ અગાઉ આ કટારમાં કેનેડાની મેગ્પાઈ નદીને એક જીવિત વ્યક્તિ ગણીને તેને હક પ્રદાન કરવામાં આવ્યા હોવાની વાત વિગતે લખાઈ હતી. કેનેડાની જળવિદ્યુત પરિયોજના હાઈડ્રો ક્વેબેક થકી પર્યાવરણને થયેલા નુકસાનને કારણે ૨૦૨૧માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઘોષણામાં લાબ્રાડોર-ક્વેબેક દ્વિપકલ્પના મોટા ભાગના સ્થાનિક લોકોના રક્ષણ માટેના પ્રયાસો સામેલ હતા. કેનેડામાં આ પ્રકારની ઘોષણા અને નિર્ણય પહેલવહેલી વાર કરાયાં હતાં, જેના થકી આ નદીની કાનૂની ઓળખ બનાવવાનો મુખ્ય હેતુ હતો. આ નિર્ણયને આનુષંગિક બીજા અનેક ઠરાવો પસાર કરાયેલા, જેને પગલે નદીને નવ કાનૂની હકો તેમજ તેના રક્ષક તરીકે સ્થાનિક લોકોને સ્થાપવામાં આવ્યા હતા.

    આવી પહેલ આનંદ આપનારી છે, અને મોડે મોડેય એ થઈ એ મહત્ત્વનું છે. આમ પણ માનવજાતની એ ખાસિયત રહી છે કે પહેલાં કુદરતી સંપદાનું નિકંદન કાઢવાનું, અને એ પછી તેના સંવર્ધન માટે પ્રયાસ કરવાના. મોટા ભાગના કિસ્સામાં મોડું થઈ ચૂક્યું છે. એટલું આશ્વાસન કે સાવ ન જાગે એના કરતાં મોડે મોડે ક્યાંક, કોઈક જાગ્યું છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૪-૬– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • સ્મૃતિસંપદા : સહકારની કેડીએ : મનસુખ વાઘેલા [૨]

    આ પહેલાં આપણે શ્રી મનસુખ વાઘેલાની અમેરિકા જવાની કેડીની સફર કરી
    હવે આગળ…….

    અમેરિકામાં પહેલા દાયકાની સંઘર્ષ યાત્રાઃ

    ન્યુયોર્કના જે. એફ. કેનેડી એરપોર્ટ પર મારું પ્લેન ૩:૩૦ વાગે ઉતરવાનું હતું અને સાત વાગે મારે લાગવાડિયાથી બફેલો બીજા પ્લેનમાં જવાનું હતું. કેનેડીથી લાગવાડિયા મારે હેલીકોપ્ટરમાં જવાનું હતું જેની ટિકિટ મેં લીધી હતી, પણ ન્યુયોર્કમાં પ્લેનને ઉતરવામાં બહુ વાર લાગી. એ ઉપરાંત કસ્ટમ, ઇમિગ્રેશન અને બાકીની બધી વિધિ પતાવતા ૫ વાગી ગયા એમાં હેલિકોપ્ટર છૂટી ગયું. હવે લાગવાડિયા કેવી રીતે જવું? એક રસ્તો હતો અને એ હતો ટેક્સી કરીને જવાનો. પણ ટેક્સીનો ખર્ચ ૫ ડોલર હતો. ભારત છોડતી વખતે મારી પાસે ૮ ડોલર હતાં, અને ગોવિંદભાઈએ મારા ગજવામાં ૬ ડોલર સરકાવી દીધા હતાં. એટલે કુલ મારી પાસે ૧૪ ડોલર હતાં. એમાથી ૫ ડોલર ખર્ચ કરી ને હું લાગવાડિયા પહોંચ્યો અને ત્યાંથી પ્લેન પકડીને બફેલો એરપોર્ટ પર ઉતર્યો ત્યારે મારી પાસે માત્ર ૯ ડોલર હતાં.

    બફેલો એરપોર્ટ પર ઉતર્યા પછી મેં પબ્લિક ફોનમાંથી યુનિવર્સિટીમાં ફોન કર્યો જેથી મને કોઈ આવી ને લઈ જાય. સામે છેડે રેકોર્ડિંગ વાગ્યું કે આજે ‘લેબર ડે’ ની રજા હોવાથી કોઈ લેવા આવી શકે એમ નથી માટે આજ ની રાત કાં તો હોટલમાં અથવા તો વાય.એમ.સી.એ.માં ગાળો. અને કાલે સવારે ફોન કરશો તો કોઈને કોઈ તમને લેવા આવી જશે. હવે શું? નસીબજોગે વેનેજ્યુએલાના એક વિદ્યાર્થી સાથે મારી ઓળખાણ થઈ ગઈ. એની કોઈ મૈત્રીણી (ગર્લ ફ્રેન્ડ) એને લેવા આવવાની હતી. એટલે નક્કી કર્યું કે આજે રાતના એની એ મૈત્રીણીના ઘરે રહીશું અને કાલે સવારે સાથે યુનિવેર્સિટી જઈશું. એની મૈત્રીણી ગાડી લઈને આવી પણ ખબર પડી કે એના માબાપ જે બહારગામ હતાં તે પાછા આવી ગયાં છે માટે એના ઘરે રહેવાની સગવડ નહીં થાય. એટલે અમે રાત હોટેલમાં રહેવાનું નક્કી કર્યું.

    યુનિવર્સિટી નજીક એક હોટેલ શોધી. રૂમનું ભાડું હતું ૧૦ ડોલર. એટલે દરેકને ભાગે ૫ ડોલર આવે. પણ હોટેલના માલિકે અમને રૂમ ભાડે આપવાની ના પાડી અને કહ્યું કે અમે તમારા જેવાને રૂમ ભાડે નથી આપતા. અમને તો સમજમાં ના આવ્યું કે આણે એવું કેમ કહ્યું, પણ પેલી છોકરીને સમજમાં આવી ગયું. એણે અમને કહ્યું  બે છોકરાઓ એકલા એક રૂમમાં એકજ પલંગમાં હોય તો એને અહીંયા ગેય (સમલંગિક) સમજવામાં આવે છે અને એવા જોડાને રૂમ ભાડે આપવી કે ના આપવી તે હોટેલના માલિક પર નિર્ભર કરે છે. અમને ખૂબ હસવું આવ્યું. અમે ત્યાંથી બીજી હોટેલમાં ગયાં, અને આ વખતે પેલી છોકરી અને તેનો મિત્ર કપલ બનીને રિજર્વેશન કરવા ગયાં અને રૂમ ભાડે મળી ગઈ.

    રૂમમાં સેટલ થયા પછી મને તરસ લાગી એટલે મેં મારા સાથીને પુછ્યું કે તારી પાસે પાણી હોય તો મને આપ. એટલે એ એક પ્લાસ્ટિકનો કપ લઈને ગયો અને અંદર બાથરૂમમાથી જ પાણી ભરીને લાવ્યો. મેં એને કહ્યું કે હું આવું પાણી નહીં પીઉં, તો એ મારા પર હસવા લાગ્યો, અને બોલ્યો અમેરિકામાં બધે પાણી એક સરખું જ આવે છે, આ પી લે, તને કાંઈ નહીં થાય, તને કાંઈ થાય તો હું બેઠો છું ને. ઈશ્વરેજ મારે માટે આ ફરિશ્તો મોકલી આપ્યો હતો.

    હવે ખીસામા ૪ ડોલર વધ્યા હતાં. ૨૫ ડોલરનો ચેક પાસે હતો અને ગોવિંદભાઈએ કહ્યું હતું કે તારો ૧૦૦૦ ડોલરનો ડ્રાફ્ટ ૧૦-૧૫ દિવસમાં આવી જશે. સવારે ઉઠી સ્નાન શોચની વિધિ પતાવીને યુનિવર્સિટીમાં ફોન કર્યો. એક સ્વયંસેવક આવીને અમને લઈ ગયો. આજે ઓરિએંટેશન હતું. ચા-પાણી અને નાસ્તો અમે ત્યાંજ કર્યા. સાંજના એ જ સ્વયંસેવકે મારા માટે ભાડાની રૂમ શોધી કાઢી. એક માજી હતાં, એમના ૩ બેડરૂમના ઘરમાં એક રૂમમાં અઠવાડિયાના ૧૦ ડોલરના હિસાબે હું પેઈંગ ગેસ્ટ તરીકે ગોઠવાઈ ગયો. માજીને મેં કહ્યું કે મારી પાસે ફક્ત ૪ ડોલર છે, અને ૨૫ ડોલરનો ચેક બતાવ્યો અને કહ્યું કે મારા બીજા પૈસા આવવાના છે, એટલે આવે પછી તમને આપી દઈશ. માજીએ મને કહ્યું કે મને તારા પર વિશ્વાસ છે, જ્યારે તારા પૈસા આવશે ત્યારે મને આપીશ તો ચાલશે. માજી ખૂબ માયાળુ હતાં. હું વેજિટેરિયન હતો એટલે મારા માટે એમણે અમુક વાસણો અલગ કાઢીને આપ્યા હતાં. રેફ્રિજરેટરમાં અલગ જગ્યા પણ કરી આપી હતી. મને તે ગ્રોસરી સ્ટોરમાં લઈ ગયાં અને જરૂરી વસ્તુઓ ક્યાં અને કઈ રીતે ખરીદવી એ મને સમજાવ્યું. એમને ત્યાં મેં એક મહિનો ગાળ્યો.

    માજીનું ઘર યુનિવર્સિટીથી ખાસ્સું દૂર હતું. એકાદ વીકમાં વર્ગો ચાલુ થયાં. તેમના ઘરેથી યુનિવર્સિટી બસ માં જવાનું હતું, બે સ્ટોપ પછી ઉતરવાનું હતું. પણ બરાબર પહેલા જ દિવસે ખબર પડી કે બસ ડ્રાઈવરો હડતાળ પર ગયાં છે. એટલે ઘણું ચાલીને જવું પડે એમ હતું. કોઈકે અંગૂઠો ઊંચો કરતા શીખવ્યું. આ રીતે હડતાળ બે અઠવાડિયા ચાલી. ત્યાં સુધીમાં હું કંટાળી ગયો અને યુનિવર્સિટીની નજીક ઘર શોધી લીધું. એ એપાર્ટમેંટમાં એક બંગાળી બાબુ રહેતા હતાં. બે બેડરુમના એ ફ્લેટમાં એક રૂમમાં એ બંગાળી બાબુ રહે અને બીજા રૂમમાં હું અને પ્રફુલ શાહ રહેવા લાગ્યા. મહિને ભાડું ૧૦૦ ડોલર આવતું જેમાં પેલો બંગાળી બાબુ ૫૦ ડોલર આપતો અને હું ને પ્રફુલ ૨૫-૨૫ ડોલર આપતા હતાં. યુનિવર્સિટીની પહેલા સેમિસ્ટર ની ફી ૩૦૦ ડોલર હતી. ૧૦૨૯ ડોલર માં આખું વર્ષ ચલાવવાનું હતું. નસીબજોગે બીજા સેમિસ્ટરથી સ્કોલરશીપમાં ફી માફ થઈ ગઈ.

    બંગાળી બાબુનું ભણવાનું પુરું થઈ ગયું હતું. એ નોકરી કરતાં હતાં. દર રવિવારે તપેલામાં ભાત, દાળ, શાક, અને ચિકન કાંતો ફિશકરી રાંધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને રાખે. એવી રિતે જ ફરી બુધ-ગુરુવારે રસોઈ કરે. અમને ખૂબ આગ્રહ કરીને વેજિટેરિયનમાથી નોનવેજ ખાતા કરી દીધા અને બીજા મિત્રોએ અમને ઈંડા અને ઓમલેટ ખાતા કરી દીધા. આમ અમારું વિદેશીકરણ થઈ ગયું.

    હું મારી સાથે કોટના ખિસ્સામાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, રાઈ, હિંગ, જીરું, મેથી જેવા મસાલા ભરીને લાવ્યો હતો. તે બધુ લગભગ દોઢ મહિનો ચાલ્યું. હવે શું? લોકલ ગ્રોસરી સ્ટોરમાં આ બધુ મળે નહીં. લગભગ ૧૦ માઈલ દૂર એક જાપાનીઝ સ્ટોર હતો એમાં ભારતીય મસાલા મળતા હતાં. મહિને એક વખત કોઈની ગાડીમાં જઈને આ બધા મસાલા, શાકભાજી વગેરે જેવી જરૂરિયાતની વસ્તુઓ અમે લઈ આવતા. હું અને પ્રફુલ અમારી રસોઈ બનાવવામાં પાવરધા થઈ ગયાં અને સ્વાદિષ્ટ રોટલી, રીંગણાં બટેટાનું શાક, દાળ, ભાત. પાપડ, કચુંબર, અથાણું, વગેરે શોખથી ખાતા, રવિવારે ખીર કે ફ્રૂટ શ્રીખંડ પણ બનાવતા. પરંતુ બંગાળી બાબુ સાથે અમને વધારે ફાવ્યું નહીં એટલે ૧ વર્ષ પછી અમે બીજા એપાર્ટમેંટમાં રહેવા ગયાં.

    જાન્યુઆરી મહિનામાં યુનિવર્સિટીમાં પાર્ટ ટાઈમ નોકરી મળી. મોટા પાર્કિંગ લોટમાં કારને ક્યાં પાર્કિંગ છે તે જણાવવાનું. વહેલી સવારે બફેલોની કડકડતી ઠંડીમાં સાડા છથી સાડા આંઠ વાગ્યા સુધી કામ કરવાનું. કલાકના ૧ ડોલર અને ૪૫ સેંટ નો પગાર હતો. અઠવાડિયાના ૧૦ ક્લાક મળતા. અમે ચાર મિત્રો વોકી-ટૉકી પર એકબીજાને જણાવતા કે કયાઁ પાર્કિંગની જગા ખાલી છે. અને અમે તેમનો પાર્કિંગનો પ્રશ્ન ઉકેલી  આપ્યો. બધા ખુશ થયાં. શાળાના ન્યૂજપેપરમાં અહેવાલ છપાયો હતો અને એમાં મારો ફોટો પણ છપાયો હતો. મેં એ ફોટો મારા કાકાને ટપાલથી મોકલ્યો, તો તેમનો જવાબ આવ્યો કે મેં તને અમેરિકા આવા કામ કરવા નથી મોકલ્યો. મારે તેમને કેવી રીતે સમજાવવું કે અમેરિકામાં વિદ્યાર્થીઓને પૈસા કમાવવા જે મળે એ નોકરી કરવી પડે છે.

    ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓને ત્રણ મહિના દરમ્યાન કામ કરવાની છૂટ હતી. મને ટ્યુશન કરવાનો પાર્ટ ટાઈમ જોબ મળી ગયો. પછી એક મિત્રએ મને કહ્યું કે બ્રેડ બનાવવાની બેકરીમાં જોબ કરવાના સારા પૈસા મળે છે. અને હું પણ ત્યાં જોડાઈ ગયો. કલાકના ૨ ડોલર અને રોજના ૮ કલાક કામ કરવાનું. જુદા જુદા વિભાગોમાં ૧-૨ વીક કામ કરવાનું આવતું. જ્યારે ઓવનમાં બ્રેડની ટ્રે મૂકવાની કે બહાર કાઢવાની આવે ત્યારે જો ધ્યાન ના રહે તો દાજી જવાય.

    એક દિવસ રિસેસમાં હું વેંડિંગ મશિનમાં  કોકાકોલા લેવા ગયો. ત્યાં મારી બેકરીના મેનેજર હેડ ની મુલાકાત થઈ. મેં મારો પરિચય આપ્યો કે હું યુનિવર્સિટીનો સ્ટુડન્ટ છું અને ઉનાળાના વેકેશનમાં અહિયાં કામ કરવા આવ્યો છું. એમણે મને પુછ્યું કે “તું શું ભણે છે?” એટલે મેં કહ્યું “મિકેનિકલ એંજિનિયરિંગ”. તેમણે મને કહ્યું કે “તો તારે આવું મજૂરીનું કામ કરવાની જરુર નથી, હું તારા માટે કાંઈક વ્યવસ્થા કરું છુ”. બીજે દિવસે મને ત્યાંના મિકેનિક કે જે બેકરીના બધાજ મશીનોની રેપેરિંગ અને દેખરેખ કરતાં હતાં ત્યાં કામ કરવા મૂક્યો. મિકેનિકને એ ગમ્યું નહીં પણ ઉપરથી આદેશ આવ્યો એટલે એ મને કંઈ કહી ના શક્યો. ચાર દિવસ તો નીકળી ગયાં પણ પાંચમે દિવસે તો એણે મારો કસ કાઢી લીધો. મને સવારના બોલાવ્યો અને કહ્યું આપણાં બોઈલરના પાઈપોમાં ખૂબ કચરો જામી ગયો છે અને તેને સાફ કરવાની જરૂર છે. એણે મને લાંબુ બ્રશ પકડાવી દીધું, મેં બે-ત્રણ કલાક કામ કર્યું અને કોલસાની રજકણ મારા શ્વાસોશ્વાસ સાથે ફેફસામાં ચાલી ગઈ. મારાથી શ્વાસ પણ ના લેવાય. પછી મને હોસ્પિટલમાં લઈ ગયાં ત્યાં મને એ લોકોએ ઓક્સિજનની ટ્રિટમેંટ આપી અને મને આવી વસ્તુઓથી દૂર રહેવાની સલાહ આપી. મારુ મિકેનિકલ કામ ત્યાં પૂરું થયું પરંતુ આ નોકરી, ટ્યુશન, અને અન્ય પ્રયત્નોથી મેં ત્રણ મહિનામાં ૧૦૦૦ ડોલર ભેગા કરી લીધા, જે મને બીજ વર્ષે ખૂબ કામ લાગ્યા.

    સપ્ટેમ્બર મહિનામાં યુનિવર્સિટીમાં હવે મારે બે કોર્સ કરવાના બાકી હતાં. મેં એક કંટ્રોલ સિસ્ટમ નો વર્ગ લીધો અને થીસિસ માટે ત્રણ પૈડાં વાળી રિક્ષાની ડિઝાઈનનો પ્રોજેકટ હાથ ધર્યો. આ બંને નિર્ણયો આગળ જતાં મારા માટે નુકશાન કારક ઠર્યા. અત્યાર સુધી મારી એવરેજ બી ગ્રેડની હતી પરંતુ કંટ્રોલ સિસ્ટમના કોર્સમાં મને ડી ગ્રેડ આવ્યો. હું સંપૂર્ણ પણે નાપાસ થયો હતો. મારી એવરેજ પછી ચીલા પર લાવવા માટે મારે બે કોર્સ નવા લેવાના અને બંનેમાં એ ગ્રેડ આવે તો જ હું ભણવાનું ચાલુ રાખી શકું. હું ગણિતમાં હોંશિયાર હતો એટલે મેં બે કોર્સ ગણિત વાળા લીધા અને બંનેમાં એ ગ્રેડ લઈ આવ્યો. પરંતુ મારો પ્રોજેકટ હું પૂરો ના કરી શક્યો, પ્રોફેસરોની સમિતિ કાંઈક ને કાંઈક વાંધા કાઢીને મને આગળ નહોતી વધવા દેતી.

    આ દરમ્યાન હું જ્યાં ટ્યુશન કરતો હતો ત્યાં મને લેક્ચરરની નોકરી મળી ગઈ. બે-ત્રણ મહિના પછી ગ્રીનકાર્ડ માટે એપ્લાય કર્યું તો છ મહિનામાં એ પણ આવી ગયું. એંજિનિયરિંગના જોબ માટે ખૂબ કોશિષ કરી પણ સફળતા ના મળી. લેક્ચરર અને શિક્ષણનું કામ મને બહુ ગમતું હતું. હવે શું કરવું? એક મિત્રએ સલાહ આપી કે મેથ એજ્યુકેશનમાં માસ્ટર્સ કરી નાખ. તારા બધા ગણિતના કોર્સની ક્રેડિટ મળી જશે. ખાલી એજ્યુકેશનને લાગતાં ૫-૬ કોર્સ કરવા પડશે. હું માની ગયો અને મારુ ધ્યેય બદલાઈ ગયું. ૧૯૭૫માં મેં “માસ્ટર્સ ઓફ મેથ એજ્યુકેશન” માં ડિગ્રી મેળવી.

    ૧૯૭૧ માં મેં એક કાર ખરીદી હતી. ઓટોમેટિક નહીં પણ સ્ટાન્ડર્ડ શિફ્ટ.  ગિયર અને ક્લચ વાળી. શીખવામાં અને લાઈસન્સ મેળવવામાં ખૂબ તકલીફ પડી, પણ અંતે લાઈસન્સ મળી ગયું. ગાડી વજનમાં ખૂબ જ હલકી. ૧૯૭૨ના માર્ચ મહિનાની સ્પ્રિંગ બ્રેકની રજાઓમાં અમે એ ગાડીમાં બફેલોથી ફ્લોરિડાનો રિટર્ન પ્રવાસ કર્યો હતો. ફ્લોરિડામાં ત્યારે ડિઝની વર્લ્ડનો થીમ પાર્ક તાજેતરમાં નવો જ ખૂલ્યો હતો. આટલો લાંબો પ્રવાસ ગાડીમાં મેં પ્રથમ વાર જ કર્યો હતો. મારુ ગાડીનું લાઈસન્સ નવું હતું અને મને બહુ પ્રેક્ટિસ નહોતી એટલે મોટે ભાગે ગાડી મારો મિત્ર રમણ ચૌહાણ ચલાવતો હતો અને બીજો મારો મિત્ર સાથે હતો મહેન્દ્ર સંઘવી. રમણ જો થાકી જાય તો મહેન્દ્ર ગાડી ચલાવતો.

    જ્યારે અમે સાઉથ કેરોલિના પહોંચ્યા ત્યારે અમે છ વિદ્યાર્થીઓએ રાત રહેવા માટે બે રૂમ માંગી. તો હોટેલના મેનેજરે કહ્યું કે અમે તમારા જેવા ને રૂમ નથી આપતા. ત્યારે મને અગાઉ બની ગયેલો પ્રસંગ યાદ આવી ગયો એટલે બીજી હોટલમાં ફક્ત બે જણ અલગ-અલગ જઈને બે રૂમ બુક કરાવી આવ્યા અને ચાવી લેતા આવ્યા અને અમે રાત રોકાયાં.

    ફ્લોરિડાનો પ્રવાસ અનેરો હતો. ઠંડીથી ભરેલા બફેલોને છોડી અમે ગરમ-ગરમ મુંબઈ જેવા વાતાવરણમાં આવ્યા હતાં. જાણે કાશ્મીરથી કન્યાકુમારી. જેવા ફ્લોરિડામાં દાખલ થયાં તો ત્યાં વેલકમ સેન્ટર હતું. ત્યાં મોસંબીના ઠંડા રસના કપ ભરેલા હતાં. અમે દરેકે ચાર-પાંચ કપ પી લીધા. જ્યાં-જ્યાં નજર કરો ત્યાં મોસંબીના વૃક્ષો દેખાય. ચારે તરફ લીલોતરી. ડિઝની વર્લ્ડમાં જુદી-જુદી રાઈડો લેવાની ખૂબ મજા આવી. ફ્લોરિડાના દરિયા કિનારે બીચ ઉપર રેતીમાં રમવાની, દરિયાના પાણીમાં છબ-છબિયાં કરવાની પણ ખૂબ મજા આવી. ઠેઠ માયામી સુધી ગયાં. પાછા ફરતા ઓર્લેંડો, ટેમ્પા અને બીજા ફ્લોરિડાના પ્રવાસધામો ફર્યા. પછી વોશિંગ્ટન ડી.સી. થઈ બફેલો પાછાં આવી ગયાં.


    ક્રમશઃ

  • સંસ્કૃત – શ્લોક/સુભાષિતો : સાચું અને પ્રિય (રીતે) બોલવું

    દેવિકા ધ્રુવ

    શ્લોકઃ

    सत्यं ब्रूयात् प्रियं ब्रूयात् न ब्रूयात् सत्यमप्रियम् ।
    प्रियं च नानृतं ब्रूयात् एष धर्मस्सनातनः ॥

    સમાસ વિભાજન અને શબ્દશ: ગુજરાતી અર્થ

    सत्यं=સાચું, સત્ય, ब्रूयात्= બોલવું જોઈએ. प्रियं= પ્રિય,ગમતું, ब्रूयात्= બોલવું જોઈએ. =ન, નહિ, ब्रूयात्=બોલવું. सत्यमप्रियम्-सत्यम्+अप्रियम्=અપ્રિય સાચું.

    प्रियं=પ્રિય च=અને नानृतं=न+अनृतं, न=નહિ +अनृतं=સાચું નથી તે, જૂઠું, ब्रूयात्=બોલવું, ष=એ જ, धर्मस्सनातनः=धर्म:+सनातनः धर्म=ધર્મ, सनातनः=સાચો.

    શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ

    સાચું અને પ્રિય (રીતે) બોલવું. અપ્રિય (રીતે) સત્ય ન બોલવું.
    પ્રિય અને જૂઠ્ઠું ન બોલવું. એ જ સનાતન ધર્મ છે.

    વિચારવિસ્તારઃ

    આ શ્લોકમાં શું બોલવું અને કેવું, કેવી રીતે બોલવું, શું ન બોલવું એની મર્મભરી સમજણ આપી છે.

    (૧) એક તો સાચું અને પ્રિય બોલવું. એમ પણ કહી શકાય કે, સાચી વાત સારી રીતે કહેવી.

    (૨) અપ્રિય સત્ય ન બોલવું. એટલે કે, કોઈને ગમે તો જ અને તે રીતે સત્ય બોલવું.

    (૩) પ્રિય બોલવું પણ જૂઠ્ઠું પ્રિય ન બોલવું. કારણ કે, એ જ સાચો અને સદાનો ધર્મ છે.

    Sanskrit shlok in English scriptઃ

    Satyam Bruyat, Priyam Bruyat, Na Bruyat Satyam Apriyam,
    priyaṃ cha naanrutam bruyaat esh dharmassanaatanaḥ.

    Word to word meaning in Englis:

    Satyam= Truth, Bruyat= to speak.; Priyam=Pleasant, Bruyat=to speak; Na= not, Bruyat=to speak. Satyam=Truth, Apriyam= Not pleasant

    priyaṃ= pleasant, good one, cha= and, naanrutam= Na+ anrutam= Na=not, anrutam=not truth= bruyaat=to speak, esh=That is. Dharmassanaatana=dharmaaha+sanaatanam Dharmaha= religion, sanaatan= Forever,eternal.

    Translation in Englishઃ

    “Speak the truth; speak it in a pleasant manner.
    Do not speak the truth in an unpleasant way, nor speak an untruth even if it is pleasant.
    This is the eternal dharma.”


    Devika Dhruva.
    ddhruva1948@yahoo.com
    http://devikadhruva.wordpress.com

  • નાગરિકને મળેલા અધિકારોનો વ્યાપ ઘણો વિશાળ છે

    નિસબત

    ચંદુ મહેરિયા

    શેરીઓ, રસ્તાઓ અને જાહેરસ્થળોએ રખડતા કૂતરાઓના ત્રાસ અંગેના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકના જીવન જીવવાના અધિકારમાં તે કોઈ પણ પ્રકારના ડર વિના જીવે તેનો સમાવેશ થાય છે તેમ જણાવી,  જોખમી અને હડકાયા કૂતરાઓને આશ્રય સ્થાનોમાં મૂકવા કે મારી નાંખવા આદેશ કર્યો છે. હાઈકોર્ટસ અને સુપ્રીમ કોર્ટે નાગરિકોના અધિકારોના દાયરાને હંમેશા વ્યાપકપણે પરિભાષિત કર્યો છે. હવે જીવન જીવવાના અધિકારમાં નિર્ભયતાથી કે ડર વિના જીવવાનો સમાવેશ કર્યો છે. નાગરિકો હડકાયા કૂતરાઓ કરડવાના ડરથી જીવે તેને જીવન જીવવાના અધિકારનો ભંગ ગણ્યો છે.

    થોડા મહિના પહેલા રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ સમક્ષ એવી ફરિયાદ દાખલ થઈ હતી કે ફરસાણ અને અન્ય ખાધ્ય ચીજો બનાવતા વેપારીઓ રાંધણ તેલનો એકાધિકવાર ઉપયોગ કરે છે. તેનાથી લોકોને કેન્સર, લિવર કે હાર્ટ સંબંધી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.  જે તેમના માનવ અધિકારનો ભંગ છે. તેથી પંચે રાંધણ તેલનો વારંવાર ઉપયોગ કરતા ફૂડ વેન્ડર્સ સામે માનવઅધિકાર ભંગના પગલાં લેવા જોઈએ. નાગરિક અધિકારોનો વ્યાપ કેટલો વિશાળ હોઈ શકે છે તેના આ ઉદાહરણો છે.

    હક કે અધિકાર તે નાગરિકને મળેલો વિશેષાધિકાર છે કે ન્યાયોચિત દાવો છે. અધિકાર વ્યક્તિને બંધારણ, ન્યાયિક વ્યાખ્યા અને વૈધાનિક કાનૂનો થકી પ્રાપ્ત થાય છે. અધિકારોથી નાગરિકોને આઝાદી અને સલામતી મળે છે. તેનો ભંગ અદાલતો સમક્ષ પડકરી શકાય છે.  ભારતીય નાગરિકોને ભિન્નભિન્ન અધિકારો મળેલા છે. તેમાં જન્મદત્ત કુદરતી કે નેચરલ રાઈટસ અને નૈતિક અધિકારો તો છે જ ઉપરાંત મૂળભૂત અધિકારો, બંધારણીય અધિકારો, વૈધાનિક અધિકારો અને કાનૂની અધિકારોનો સમાવેશ થાય છે.

    કુદરતી અધિકારો રાજ્યના અસ્તિત્વ પહેલા અસ્તિત્વમાં આવેલા છે. જીવન અને સ્વતંત્રતાનો અધિકાર વ્યક્તિનો જન્મદત્ત હક છે. આ હક કોઈ છીનવી શકતું નથી કે અદાલતોએ તેને લાગુ પાડેલા નથી. નાગરિકના પ્રાક્રુતિક અધિકાર તેના જન્મ સાથે અવિભાજ્ય કે અભિન્ન રીતે જોડાયેલા છે. નૈતિક અધિકારો વિધિક જોગવાઈઓને બદલે નૈતિક સિધ્ધાંતો પર આધારિત હક છે. નૈતિક રીતે યોગ્ય-અયોગ્ય તે નક્કી કરે છે.

    ભારતીય બંધારણના ભાગ-૩, અનુચ્છેદ ૧૨ થી ૩૫માં મૂળભૂત અધિકારોનો સમાવેશ કર્યો છે. બંધારણે નાગરિકોને છ મૂળભૂત અધિકારો આપ્યા છે. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુધ્ધ અધિકાર, ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર, સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધી અધિકાર અને બંધારણીય ઉપચારોના રક્ષણનો અધિકાર-  એ છ મૂળભૂત અધિકારો છે. અગાઉ આ અધિકારોમાં મિલકત ધારણ કરવાનો મૂળભૂત અધિકાર પણ હતો. ૧૯૭૮માં ૪૪મા બંધારણ સુધારાથી તેને મૂળભૂત અધિકારોની યાદીમાંથી રદ કરવામાં આવ્યો છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    મૂળભૂત અધિકારો નાગરિકને મળેલું એક શક્તિશાળી હથિયાર છે. મૂળભૂત હકો વિરુધ્ધ સરકાર કાયદો ઘડી શકતી નથી કે તેનું ઉલ્લંઘન થાય તેવા પગલાં લઈ શકતી નથી. અદાલતો તેના રક્ષણ માટે હંમેશા તત્પર હોય છે.

    સમાનતાના મૂળભૂત અધિકારમાં રાજ્ય કોઈ પણ નાગરિક પર ધર્મ, વંશ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે ભેદ કરી શકતી નથી.. જોકે સરકારી નોકરીઓ, શિક્ષણ અને અન્યમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ ઓછું હોય તો તે માટે કરવામાં આવેલી અનામત સહિતની સવલતોની જોગવાઈઓ સમાનતાના અધિકારનો ભંગ ગણાતી નથી.સંવિધાનના મૂળભૂત અધિકારોના વિભાગમાં  અનુચ્છેદ ૧૭ થી આભડછેટનો અંત આણવામાં આવ્યો છે. અર્થાત કોઈની પણ સાથે અસ્પૃશ્યતાનું આચરણ મૂળભૂત અધિકારનો ભંગ છે અને તે દંડનીય અપરાધ ગણાય છે.

    ૨૦૦૨ના ૮૬મા બંધારણ સુધારાથી ૬ થી ૧૪ વરસના બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે.( અનુછેદ-૨૧-ક)  જ્યારે નાગરિકની પોલીસ કોઈ કારણસર ધરપકડ કરે તો તેને ૨૪ કલાકમાં નજીકના ન્યાયાલયના જજ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ પણ મૂળભૂત અધિકારોના પ્રકરણમાં કરી છે. આંતરિક કટોકટીમાં ઘણા નાગરિકોની ધરપકડો પછી તે ગુમ થયાના સમાચારો મળ્યા ત્યારે અદાલતોએ હેબિયસ કોર્પસ હેઠળ નાગરિકને જીવતો કે મૂઓ અદાલત સમક્ષ રજૂ કરવાના આદેશો કર્યા હતા. હવે તો તે નાગરિક અધિકારના ભંગ હેઠળની કાયદાકીય  જોગવાઈ બની છે.

    બંધારણના પાર્ટ-૩ ની બહારના અધિકારો કે જે કેન્દ્ર અને રાજ્ય સરકારોના કાયદાઓ દ્વારા લાગુ પડે છે તે બંધારણીય અધિકારો છે. સંપત્તિ ધારણ કરવાનો અધિકાર, મુક્ત વ્યાપાર અને કાયદાના હક વિના કર ન લગાવવાનો અધિકાર બંધારણીય અધિકારો છે. આ અધિકારોને અદાલતોમાં પડકારી શકાય છે.

    સંસદ અને રાજ્યોના વિધાનગૃહોના સામાન્ય કાયદાઓ વડે  અસ્તિત્વમાં આવતા અધિકારો વૈધાનિક અધિકારો છે. મનરેગા(હવે જી રામજી) દ્વારા કામનો અધિકાર, વન અધિકાર અધિનિયમ મારફ્ત આદિવાસીઓના અધિકાર,  રાષ્ટ્રીય ખાધ્ય સુરક્ષા અધિનિયમ દ્વારા અન્નનો અધિકાર વગેરે વૈધાનિક અધિકારો છે.

    ભારતમાં નાગરિકોને મળેલા વિવિધ અધિકારોનો વ્યાપ બંધારણ અને કાયદા પોથીઓ કરતાં અદાલતોની વ્યાખ્યાઓથી ઘણો વિશાળ બન્યો છે. માર્ચ-૨૦૨૬માં સુપ્રીમ કોર્ટે મહિલાઓના પીરિયડસથી જોડાયેલા આરોગ્ય અને સાફ-સફાઈના મુદ્દાને મૂળભૂત અધિકારના અનુચ્છેદ ૨૧ હેઠળ જોડીને મૂળભૂત અધિકાર માન્યો છે. શિક્ષણ સંસ્થાઓમાં કિશોરીઓ પીરિયડસ સંબંધી વ્યવસ્થાઓના ભાવે ભણવાનું છોડે તેને મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ગણી શાળાઓમાં બાળકીઓ માટે અલગ શૌચાલયો, સ્વચ્છ પાણી, પીરિયડસ સાથે જોડાયેલી અન્ય બબાતોની ઉપલબ્ધતા અને ફેકવા માટે સાફ-સલામત સાધનોની કમી દૂર કરવા જણાવ્યું છે. આ ખરેખર મહિલા અધિકારો માટે મહત્વની બાબત છે.

    ૨૦૨૫ના જૂનમાં સર્વોચ્ચ અદાલતે ડિજિટલ સેવાઓ સુધી પહોંચને પણ મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો. જ્યારે દેશમાં આવશ્યક સેવાઓ, વહીવટ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ તથા આર્થિક તકો સુધીની પહોંચ ડિજિટલ સેવાઓના માધ્યમથી ઝડપથી વધી રહી છે ત્યારે પ્રત્યેક નાગરિકો સુધી તેની પહોંચ હોવી અનિવાર્ય છે. ડિજિટલ વિભાજન કેડિજિટલ કમી દૂર કરવી તે સન્માન સાથે જીવન જીવવા જરૂરી હોવાનું અદાલતે જણાવ્યું હતું.

    માનવ અસ્તિત્વ માટે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો સંબંધ અભિન્ન છે પ્રો. સાંઈબાબાના કેસમાં સુપ્રીમ કોર્ટે પ્રાઈવસી કે ગુપ્તતાના અધિકારને જીવનનો હક ગણ્યો હતો. પ્રાઈવસીનો હક માનવ ગરિમાનું અંગ હોવાનું અદાલતના આદેશમાં કહેવાયું હતું. સ્વચ્છ પર્યાવરણનો હક, દિલ્હી અને બીજા શહેરોમાં પ્રદૂશિત હવા સામે સ્વચ્છ હવાનો હક, પીવાના ચોખ્ખા પાણીનો હક પણ જીવન જીવવાના હકમાં સામેલ છે. એ રીતે ઘણી બાબતો જે નાગરિકના જીવન સાથે જોડાયેલી છે તેને અધિકાર ગણવામાં આવી છે.

    અધિકારોનો વ્યાપ વિશાળ છે પરંતુ તે અસીમિત નથી. ગંભીર સ્થિતિમાં અને દેશહિતમાં સરકારો નાગરિક અધિકારોને સીમિત કરી શકે છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • રૂઆબદાર પાઘડી

    માહિતી જંક્શન

    વિશાખા મોઠિયા

    ભારતદેશના વસ્ત્ર પરિધાનને દુનિયાના તમામ દેશોના વસ્ત્ર પરિધાન કરતાં સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે કેમ કે આપણી સંસ્કૃતીની ઓળખ બતાવે છે, માન અને મર્યાદા બતાવે છે. આજે આપણે એક એવા વસ્ત્ર પરિધાન વિશે વાત કરવાની છે જેને માન-મર્યાદા અને મોભાનું પ્રતીક માનવામાં આવે છે. જેની ઉપર કેટ-કેટલીયે કહેવતો અને દુહાઓ પણ લખાયા છે. આ એકમાત્ર એવુ વસ્ત્ર પરિધાન જે શુભ અને દુ:ખ બન્ને પ્રસંગોમાં પહેરવામાં આવે છે. તો આજે આપણે વાત કરવાની છે પાઘડીની. પાઘડી પહેલા માત્ર પુરુષો જ પહેરતાં પણ હવે તો લેડીઝ લોકો પણ ફેશનની જેમ લગ્ન પ્રસંગોમાં પાઘડી પહેરે છે.

    પરિચય:-

    આપણા દેશમાં ગૌરવ, સન્માન અને પ્રતિષ્ઠાનાં પ્રતીક તરીકે ઓળખાતી પાઘડી એ માથાનો પહેરવેશ – શિરછત્ર, શિરોભૂષણ છે. પાઘડી માત્ર આબરૂનું જ નહીં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માથાનું પણ સૂર્યના આકરા તાપથી રક્ષણ કરે છે. પાઘડીને રાજા-મહારાજાઓ, બાદશાહો, નવાબો, બેગમો, રાજપુતો અને રબારી, ભરવાડોથી માંડીને ઈતરજ્ઞાતિઓના સંસ્કારનું, સંસ્કૃતિનું, આન-બાન અને શાનનું પ્રતીક માનવામાં આવતું અને હાલમાં પણ માનવામાં આવે છે. આપણા ઈતિહાસના પાનાઓમાં પાઘડીનો વિશિષ્ટ ઉલ્લેખ છે એના પર અસંખ્ય કહેવતો અને ગીતો પણ છે. અને આ પાઘડીને લીધે કેટ-કેટલાય ધીંગાણા પણ રમાય ગયા છે. આજ કાલ પાઘડી માત્ર પ્રસંગો સુધી જ સીમિત રહી છે પરંતુ પંજાબ અને રાજસ્થાનનાં લોકોએ પઘાડીને અડીખમ જાળવી રાખી છે.

    અર્થ :-

    પાઘડી એ માથામાં વીંટાળીને પહેરાતું એક વસ્ત્ર છે જે ૩.૫ થી ૬ મીટર લાંબુ અને ૧ મીટર પહોળું હોય છે. પાઘડી શબ્દ એ ‘પટ’ એટલે કાપડ અને ‘ક’ પ્રત્યય લાગી ‘પટકી’ શબ્દ બન્યો, જે અપભ્રંશ થઈને ‘પાઘડી’ તરીકે ઓળખાયો. ભારતના વિવિધ પ્રાંતો તેમજ ગુજરાતના કચ્છ, કાઠિયાવાડમાં જુદા-જુદા નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે : પાગ, પગ, પાઘડી, ફાળિયું, સાફો, ફેંટો, પગડી, ફાડ, માથાનું મોળિયું વગેરે.

    વળી, પાઘડીનો વિવિધ સંદર્ભમાં ઉપયોગ પણ જોવા મળે છે:

    (૧) મોટી પાઘડી,

    (૨) ઘાટ કે ઢંગધડા વગરનું ફાળિયુ,

    (૩) આબરૂ, લાજ,

    (૪) મકાનભાડે લેતી વખતે અગાઉ જે ખાનગી રકમ (ડિપોઝીટ) લેવામાં આવે છે તે (Goodwill) વગેરે.

    ઇતિહાસ :- પાઘડી પહેરવાના મૂળ સિંધુ ઘાટી સભ્ય સંસ્કૃતિથી ચાલ્યા આવે છે. એ સમયમાં પાઘડી નહીં પરંતુ ‘ઉત્તરીય’ એટલે કે ઉપવસ્ત્ર ~ ખેસ હતું. સ્ત્રી અને પુરુષો બંને પોતાની અલગ સ્ટાઈલની ઉત્તરીય પહેરતા. પુરુષો દ્વારા મસ્તક અને ખભા પર ખેસ પહેરવામાં આવતું. સ્ત્રીઓ પહેરતી એ ઓઢણું કે ઓઢણી તરીકે ઓળખાતી. સિંધુ ઘાટી સભ્યતામાંથી મળી આવેલ મૂર્તિઓમાં પુરુષોને પાઘડી પહેરેલા બતાવ્યા છે જ્યારે સ્ત્રીઓને અતરંગી ટોપી પહેરેલી બતાવવામાં આવી છે. એ ટોપીઓ પીંછા, ટેરકોટ્ટાના કોન, ફૂલ વગેરેથી સજાવવામાં આવતી.

    મૌર્યકાળમાં પુરુષો પોતાના વાળને કાપડની સેરમાં બાંધી તેની અંબોડી વાળીને તેને માથાની એક બાજુએ રાખીને પાઘડી પહેરતા ~ સાઈડ અંબોડાવાળી પાઘડી. ચંદ્રગુપ્ત મૌર્યની સીરિયલમાં ચંદ્રગુપ્ત આ પ્રકારની પાઘડી પહેરેલા  જોવા મળશે.

    રાજપુતકાળ પાઘડીનો સોનેરી સમય હતો એવું કહી શકાય. એ સમયમાં પાઘડી બાંધવી એક કલા ગણાતી, જે પાઘડી બાંધવામાં માહિર હોય તેને રાજપૂતોના રાજદરબારમાં પાઘડી બાંધવાના કામે રાખવામાં આવતા. આ સમયમાં સામા છેડે મુઘલો પણ આવ્યા હતા. તેઓએ પણ રાજપૂતોની પાઘડીથી પ્રેરાઈને પોતાની પાઘડી (રાજ મુકુટ) પર હીરા – મોતી, સોનાનાં તાર, કિંમતી રત્નો, આભૂષણો લગાવવાનું શરૂ કર્યું હતું.

    મરાઠા શાસનકાળ દરમ્યાનની પેશવાઈ પાઘડી, મૈસુર પેટા, જીરેતોપ વગેરે માથાને પૂરી રીતે ઢાંકી દેતી. મરાઠા રાજવીઓ પોતાની પાઘડીમાં કાચ, મોતી, અર્ધ કિંમતી પથ્થરો – રત્નો વગેરે લગાવતા.

    પ્રકાર:- આખા ભારતમાં પાઘડીના અલગ નામ હોવાની સાથે એના વિવિધ પ્રકારો પણ જોવા મળે છે. તો રાજ્ય પ્રમાણે પાઘડીના પ્રકારો આ મુજબ છે :

     (૧) ગુજરાત :- ગુજરાતમાં પાઘડી પાઘડી કે ફાળિયુંના નામથી ઓળખવામાં આવે છે. આપણા ગુજરાતના પ્રસિદ્ધ ચારણી સાહિત્યના વિદ્વાન કવિશ્રી પીંગળશીભાઈ ગઢવીએ પાઘડીના પ્રકાર ઉપર ગીત લખ્યું છે જે આ મુજબ છે :

    મોરબીની ઈંઢોણી, ને ગોંડળની ચાંચ,
    જામનગરનો ઊભો પૂળો, પાઘડીએ રંગ પાંચ. (૧)

    બારાડીની પાટલિયાળી,બરડે ખૂંપાવાળી,
    ઝાલાવાડની આંટિયાળી, કાળીટીલીવાળી. (૨)

    ઓખાની પણ આંટિયાળી,ભારે રૂઆબ ભરેલી,
    ઘેરી ને ગંભીર ઘેડની, જાતાં આંખ ઠરેલી. (૩)

    સોરઠની તો સીદી સાદી ગીરનું કુંડાળું,
    ગોહિલવાડની લંબગોળ,ને વળાંકી વઘરાળું. (૪)

    ડાબા કે જમણા પડખામાં, એક જ સરખી આંટી,
    કળા ભરેલી કાઠિયાવાડની, પાઘડી શીર પલાંટી. (૫)

    ભરવાડોનું ભોજપરું, ને રાતે છેડે રબારી,
    પૂરી ખૂબી કરી પરજિયે, જાડા ઘા ઝીલનારી. (૬)

    બત્તી જૂનાગઢ બાબીઓની, સિપાઈને સાફો,
    ફકીરોનો લીલો ફટકો, મુંજાવરને માફો. (૭)

    વરણ કાંટિયો વેપારી કે વસવાયાની જાતિ,
    ચારણ, બ્રાહ્મણ, સાધુ જ્ઞાતિ પાઘડીએ પરખાવી. (૮)

    ઉપરોક્ત ગીતમાં ગુજરાતના દરેક પંથની પાઘડીઓ આવી જાય છે.

    (૨) રાજસ્થાન:- રાજસ્થાનમાં પાઘડી ‘પગડી કે પાગ’ તરીકે ઓળખવામાં આવે છે. રાજસ્થાનમાં પાઘડીના પ્રકારો આ પ્રમાણે છે : પેંચા, સેલા, સાફા, મેવાડી (જે મહારાણાઓ દ્વારા પહેરવામાં આવે) વગેરે.

    (૩) મહારાષ્ટ્ર :- મહારાષ્ટ્રમાં પાઘડીને ‘ફેટા’ તરીકે ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારની પાઘડીઓ જોવા મળે છે : કોલ્હાપૂરી, પુનેરી, માઉલી, મૈસુર પેટા કે ફેટા તેમજ મહાત્મા ફૂલે વગેરે જેવી પાઘડીઓ સ્પેશિયલ મરાઠાઓ દ્વારા પહેરાવવામાં આવતી હતી.

    (૪) પંજાબ :- રાજસ્થાન પછી પંજાબમાં પાઘડીનું વિશિષ્ટ મહત્વ રહ્યું છે અને એ લોકો માટે તો પાઘડી પહેરવી ફરજિયાત છે. પંજાબના શીખ લોકો માટે પાઘડી માત્ર માથું ઢાંકવાનું વસ્ત્ર નહીં રહેતા, તેના ધર્મ – આસ્થા સાથે જોડાયેલું અદ્વિતીય પ્રતીક છે. પાઘડી પંજાબમાં ‘પગડી’, ‘દસ્તાર’ વગેરે જેવા નામોથી ઓળખવામાં આવે છે. ત્યાં પાઘડી આ પ્રકારે જોવા મળે છે : પટિયાલા શાહી દસ્તાર, મોરની – પોચવી દસ્તાર, અમૃતસર શાહી દસ્તાર વગેરે. શીખધર્મનાં પાંચ પવિત્ર વસ્તુઓમાં તેઓની દસ્તાર પાઘડી પણ શામેલ છે, માટે શીખ લોકો પાઘડી ધારણ કરે છે. દસ્તાર પાઘડી એ આસ્થા, સમાનતા, આદર, આત્મ સમ્માન, હિંમત, આધ્યાત્મિકતા અને ભક્તિનું પ્રતીક છે.

    મહત્વ અને કહેવતો :-

    પ્રસંગો અનુસાર પાઘડીઓનું પણ અલગ મહત્વ છે, જેવો પ્રસંગ એવો પાઘડીનો રંગ હોય છે. કેટલાક ઉદાહરણો જોઈએ. કેસરી રંગની પાઘડી કોઈ રેલી કે ધાર્મિક રથયાત્રામાં પહેરવામાં આવે છે. સફેદ રંગની પાઘડી મરણ જેવા કોઈ દુ:ખદ પ્રસંગમાં પહેરવામાં આવે છે. ગુલાબી રંગની લગ્નપ્રસંગમાં અને બ્લુ રંગની પાઘડી શીખ લોકો યુદ્ધ કે લડાઈ દરમિયાન પહેરવામાં આવે છે. બ્લુ રંગને યુદ્ધનું પ્રતીક છે માટે શીખ લોકો બ્લુ રંગની પાઘડી પહેરે છે અને એ પાઘડી ઉપર એ લોકોનું ધર્મચિહ્ન અંકિત કરવામાં આવેલું છે. પાઘડીઓ વિશે ઘણી કહેવતો જોવા મળે છે જે આ પ્રમાણે છે :

    (૧)     લાખોમેં એક લખેશરી, સોમેં એક સુજાન,
    સબ નર બાંધે પાઘડી, સબ નરકુ નહીં માન.

    (૨)     મૂંછ મેળાવો પાઘડી, ચોથી ચતુરાઈ જાણ,
    નાનપણમાં આવે તો, પછી કદી ન આવે.

    (૩)     પાતળી પહેરે મોજડી, ચાલે ચટકતી ચાલ,
    વાંકી બાંધે પાઘડી, ભલો ઈ કાઠિયાવાડ.

    (૪)     પુરૂષને વહાલી પાઘડી, સ્ત્રીને વહાલું ઘર,
    બ્રાહ્મણને વહાલાં લાડવા, વાણિયાને વહાલું જર.

    (૫)     શીર સલામત તો પાઘડિયા બહુત.

    (૬)     પાઘડી બાંધવામાંવાર, પાડવામાં શું વાર ?

    વિશેષ બાબતો :-

    – રાજાશાહીના શાસનકાળમાં દરેક રાજા – મહારાજા પોતાની અલગ શૈલીની પાઘડી ડિઝાઈન કરાવતા, જેમ અત્યારે આપણે પર્સ, ટોપી, ટી શર્ટ વગેરે customise કરાવી છીએ તેમ.

    – રાજા મહારાજાઓની પાઘડી લગભગ સાત થી આઠ પ્રકારના આભૂષણોથી સજાવવામાં આવતી હતી.

    – રાજપૂત કાળની પાઘડી ૨૨ ઇંચ લાંબી અને ૮ ઇંચ પહોળી જોવા મળતી.

    – અલગ અલગ પ્રાંતની પાઘડી તેમજ ટોપીઓને લઈને ભારત સરકારના પોસ્ટ વિભાગે ૧૬ જગ્યાઓ માટેના ૧૬ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડયા હતા, જેમાં વિવિધ પ્રાંતની પાઘડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં રાજસ્થાની પાઘડી, ગુજરાતની કાઠિયાવાડી પાઘડી, હરિયાણી પાઘડી, પુણેરી પાઘડી, શીખ લોકોની દસ્તાર પાઘડી, મૈસુર પેટા, મિથિલા પાઘડી તેમજ ટોપીઓમાં હોર્નબિલ યોદ્ધા ટોપી, હિમાચલી ટોપી, અંગામી આદિવાસી ટોપી, કશ્મિરી ~ કરાકુલ ટોપી, બ્રોકપા ટોપી, લદ્દાખી ટોપી ~ ગોંડા વગેરે.

    – પટિયાલાના અવતારસિંહ મૌનીએ વિશ્વની સૌથી મોટી પાઘડી પહેરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમની દસ્તાર પાઘડી ૬૪૫ મીટર લાંબી અને ૪૫ કિલો વજન ધરાવતી છે.

    તો આ વાત હતી, આપણી ભારતીય સંસ્કૃતિની રૂઆબદાર પાઘડીના ઇતિહાસ વિશેની


    સુશ્રી વિશાખા મોઠિયાનો સંપર્ક vishakhawriter@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ‘ભારત એક ખોજ’નું સંગીત – [૨] – વેદ કાળનાં લોકો અને ઋગ્વેદ

    દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ભારત એક ખોજનું સંગીત  

    (એક સમયે દૂરદર્શન પરથી પ્રસારિત, શ્યામ બેનેગલ દિગ્દર્શીત, જવાહરલાલ નહેરુના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્‍ડિયા’ પર આધારિત ધારાવાહિક ‘ભારત એક ખોજ’ ના સંગીતનો આસ્વાદ આ શ્રેણીમાં કરાવાયો છે. વનરાજ ભાટિયાએ તેનું સંગીત તૈયાર કર્યું હતું.)

    બીરેન કોઠારી

    ત્રીજા હપ્તામાં આર્યોના આગમન અને તેને લગતા મત વિશે વર્ણન છે.

    આ કડીમાં સંસ્કૃતિના થતા પ્રસારની સાથે કુદરતની ખુબીઓને કારણે બદલાતી જીવનશૈલીના વિવિધ પ્રસંગોને અનુરૂપ ગીતો દ્વારા રજૂ કરી છે.

    આરંભે ‘હે જલ! હે ઉદક! નીર હૈ, સુખસ્રોત હૈ’ ગીત એ કાળના લોકોના જીવનમાં પાણીની મહત્તા દર્શાવે છે. ( @ ૪.૩૦ થી ૬.૩૫)

    એ પછી અગ્નિનું મહત્ત્વ દર્શાવતું ગાન ‘હે મન, જૈસે ધન કામના સે જન, જુડે હુએ રથ કા યશ ગાતે હૈ’ છે, જેમાં પ્રમુખ પુરુષ સ્વરની પાછળ સમૂહગાન છે. ( @ ૯.૪૬ થી ૧૦.૫૦)

    આગળ જતાં યુદ્ધગાન ‘ગાયક ગાતા હૈ, ઈન્‍દ્ર કે લિયે ગાના’ સમૂહસ્વરમાં છે, જે જોશ ભર્યો છે. આ સમૂહગાનની ગતિ એટલી તેજ નથી, પણ સંગીત તેમજ સમાંતરે ચાલતાં દૃશ્યોને કારણે તેની જુસ્સાભરી અસર ઊભી થાય છે. ( @ ૧૯.૩૩ થી ૨૧.૨૬)

    ઈન્દ્રની સ્તુતિ કરતું સમૂહગાન ‘કિસને અરિવધ કર, સપ્તસરિતા બહાઈ’ પણ એવી જ જોશીલી અસર પેદા કરે છે. ( @ ૨૨.૩૦ થી ૨૪.૧૩)

    ‘ગ્રામ’ એટલે કે ગામ અને તેની સંસ્કૃતિ વર્ણવતું ગીત ‘ગાયેં આયેં, હમારે ઘર રહેં’ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં છે, જેમાં તાલ નહીંવત્ છે. સમૂહગાન મુખ્ય સ્વરને અનુસરે છે. ( @ ૨૫.૧૦ થી ૨૭.૦૮)

    કથા આગળ વધે છે એમ વૈદિક કાળના લોકોનું, એમની જીવનશૈલીનું વર્ણન આવે છે. એમાં એવો ઉલ્લેખ છે કે જુગાર એમના આનંદપ્રમોદની મુખ્ય પ્રવૃત્તિ હતી. આ દર્શાવતું ગીત ‘આ યે પાસે, ઝંઝાવાત મેં પેડ સે ટપકે’ પાસા વિશેનું રમૂજી વર્ણનાત્મક ગીત છે. એકલ સ્વરથી શરૂ થઈને તરત જ તે સમૂહગાનમાં પરિવર્તીત થાય છે, અને આગળ જતાં તેનો લય તેજ બને છે. ‘પત્નીયાં જુઆરી કી, વિરહ મેં જલ મરી હૈ’ જેવા શબ્દો – @ ૩૧.૨૦ થી ૩૧.૨૯-  તેની વિપરીત અસરોનું વર્ણન છે. તાલપલટા આ ગીતને કર્ણપ્રિય બનાવે છે. ( @ ૨૯.૦૫ થી ૩૨.૧૪)

    જુગારમાં ભાન ભૂલેલો સુતેજા નામનો જુગારી પોતાના સરદાર અને પિતાજી પર હાથ ઉઠાવે છે. એ પછી તેને વાસ્તવિકતાનું ભાન થતાં પશ્ચાતાપરૂપે વાગતું ગીત ‘વરુણ હે! પૂછતા મૈં સ્વયં સે, મૈંને કિયા હૈ પાપ કૌન સા’ બહુ વિશિષ્ટ છે. તેમાં તાલ નથી, અને ખપ પૂરતાં સહાયક વાદ્યો. આથી સ્વરનું પ્રભુત્વ જણાઈ આવે છે. ( @ ૩૩.૨૫ થી ૩૫.૧૫)

    તેની પાછળ જ ઉષામાહાત્મ્ય દર્શાવતું ‘આતી હૈ, આતી હૈ, દેખો! ઉષા આતી હૈ’ શબ્દો ધરાવતું યુગલગાન છે, જે ખુશમિજાજી ગીત છે. ( @ ૩૫.૨૦ થી ૩૭.૪૦)

    આ સંસ્કૃતિના વધુ એક મહત્ત્વના અંગ એવા યજ્ઞનું માહાત્મ્ય ‘હે અગ્નિ! આહુતિ કા અન્ન લો!’ શબ્દો ધરાવતા ગાનમાં છે. ( @ ૩૮.૧૬ થી ૩૯.૩૦)

    મૃત્યુ વખતે ગવાતું સમૂહગાન ‘ઓ પિતા! પરમ વ્યોમ મેં અપને પિતરોં સે મિલો!’ અસરકારક છે, જે સંભવત: ઋચાઓનો અનુવાદ હોય એમ જણાય છે. ( @ ૪૦.૧૮ થી ૪૧.૫૦)

    અશ્વમેધ યજ્ઞ દ્વારા રાજાનો રાજ્યાભિષેક કરતાં અશ્વનું માહાત્મ્ય ‘અશ્વ હે! અંતરીક્ષ કે આદિ જલ મેં ઉદિત હુએ તુમ’ દ્વારા થયા પછી અશ્વને છૂટો મૂકવામાં આવે છે ત્યારે જોશભર્યા લયમાં ગવાતું સમૂહગાન ‘અશ્વ હે! દૌડતા રથ કે રે પીછે’ અશ્વમેધના માહોલને પેદા કરી દે છે. ( @ ૪૬.૨૫ થી ૪૮.૧૫)

    એ પછી ‘જાઓ, અશ્વ તુમ જાઓ’ વળી પાછું ધીમા લયમાં, અને તરત જ ઝડપી લયનું સંગીત અદ્‍ભુત અસર ઊભી કરે છે ( @ ૪૮.૧૬ થી ૪૯.૨૬) અને ત્યાં જ આ હપ્તો સમાપ્ત થાય છે.

    અહીં કેટલીક બાબતો તરત ધ્યાનમાં આવે એવી છે. આ સમૂહગાન કે ગીતોમાં ફિલ્મી ગીતોમાં હોય છે એમ પૂર્વાલાપ કે મધ્યાલાપ નથી. એ સીધાં જ શરૂ થઈ જાય છે. સંગીત સ્વતંત્ર નથી, પણ શબ્દોને ઉઠાવ આપવા માટે પ્રયોજાયું છે. મોટા ભાગે અસલ વાદ્યોને બદલે કીબોર્ડ એટલે કે કૃત્રિમ સૂરોનો ઉપયોગ છે, છતાં તે ધારી અસર ઉપજાવવામાં સફળ રહે છે. ગીત કે ગાનને પરિસ્થિતિ યા સંવાદોની સાથે એ રીતે ગોઠવવામાં આવ્યું છે કે તે બાકીના કથાપ્રવાહને આગળ લઈ જાય. વૈદિક યુગમાં ગીતસંગીતનું મહત્વ કેટલું હતું એ આ શૈલીથી આપોઆપ પ્રસ્થાપિત થાય છે.

    નીચેની લિન્ક પર આ હપતો જોઈ શકાશે.


    ક્રમશઃ


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


    Disclaimer:

    The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.

  • જૂની રંગભૂમિનાં લોકપ્રિય ગીતો : જૂની રંગભૂમિ

    જીના શેઠ

    અનોખું સાંસ્કારિક આંદોલન

    (ઉદ્‍ભવ, વિકાસ અને અસ્ત)

    ઉદ્‍ભવ અને પ્રારંભકાળ

    વર્તમાન ગુજરાતી રંગભૂમિને આપણે જે સ્વરૂપમાં જોઈએ છીએ તેના ઉદ્દભવને લગભગ પોણા બે સદી જેટલો સમય થઈ ગયો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં સાહિત્યિક અને સામાજિક નવજાગૃત્તિનો પ્રાદુર્ભાવ થયો, તેની સાથે રંગભૂમિનો પણ એ પ્રબોધ કાળ હતો.

    વિચારોની જુદી-જુદી શાળાઓ (Schools of Thoughts) વિશ્વભરમાં છે. આપણા નાટકને સંસ્કૃત નાટ્યશાસ્ત્રની જેમ જ પાશ્ચાત્ય નાટયમીમાંસા પણ સ્પર્શી છે. ગુજરાતી રંગભૂમિ પર તો પશ્ચિમના નાટયલેખન અને અભિનયશૈલીની અસર સ્પષ્ટ રહી છે.

    ગુજરાતી રંગભૂમિનો ઉદ્દભવ પ્રથમ મુંબઈને આંગણે થયો અને એના જન્મદાતા હતા મુંબઈના પારસીઓ. તે વખતે અંગ્રેજો ‘બૉમ્બે થિયેટર’માં શેક્સપિયર, મોલિયેર અને શેરિડનનાં નાટકો ભજવતા હતા. તે જોઈને મુંબઈના પારસી કલાકારોને આવાં નાટકો ગુજરાતી અને ઉર્દૂમાં ભજવવાની ઇચ્છા થવાથી પારસીઓએ એમની જ શૈલીથી નાટકો ભજવવાની શરૂઆત કરી. ૧૮૪૨ની આસપાસ શંકર શેઠે મુંબઈમાં થિયેટર બંધાવ્યું.

    વર્ષ ૧૮૫૦માં પ્રથમ નાટક દલપતરામ દ્રારા ‘લક્ષ્મી’ પ્રસ્‍તુત કરવામાં આવ્યું હતું, જેની પ્રેરણા એરિસ્ટોફનસ દ્રારા પ્રાચીન ગ્રીક કૉમેડી નાટક “પ્લુટસ’ પરથી લેવામાં આવી હતી. ૧૮૫૨માં, એક પારસી નાટય જૂથ દ્રારા  ગુજરાતી ભાષામાં ‘શેક્સપિયર’ નાટકનો ખેલ સુરત શહેરમાં ભજવવામાં આવ્યો હતો. વર્ષ ૧૮૫૩ની ૨૯મી ઓક્ટોબરે ગ્રાન્ટ રોડ થિયેટર મુંબઈ ખાતે ફરામજી ગુર્તાદજી દલાલની ‘પારસી નાટકમંડળી’ દ્વારા સૌપ્રથમ પારસી – ગુજરાતી નાટક ‘રુસ્તમ અને સોહરાબ’ રજૂ કરવામાં આવ્યું હતું. જે ગુજરાતી રંગભૂમિની શરૂઆતનું માઈલસ્ટૉન ગણાય છે. તે સાથે ફારસી પ્રહસન ‘ધનજી ધરાક’ પણ ભજવવામાં આવ્યું. આમ ગુજરાતી રંગભૂમિનો પ્રારંભ થયો.

    ૧૮૪૦-૫૦ની વચ્ચે ગુજરાતી નાટકો મુંબઈ, અમદાવાદ ને સુરતમાં ભજવાયાં હતાં. તે પછીથી ૧૮૬૧ સુધીના અરસામાં વિક્ટોરિયા, બાલીવાલા જેવી જુદી-જુદી પારસી નાટકમંડળીઓ દ્રારા જુદાં-જુદાં નાટકો ભજવાયાં અને નાનાં-નાનાં થિયેટરો પણ બંધાવાયાં. આ પ્રવૃત્તિના અગ્રેસરો તરીકે શ્રી કુંવરજી નાઝર, દાદાભાઈ સો. પટેલ, કાબરાજી ખુરશેદજી બાલીવાલા, દાદાભાઈ રતનજી થૂથી, ફરામજી ગુસ્તાદજી દલાલ, નાનાભાઈ રાણીના કાવસજી ખટાઉ વગેરે મુખ્ય ગણી શકાય.

    ત્યારબાદ મુંબઈમાં ‘ગુજરાતી નાટકમંડળી’ પણ સ્થપાઈ અને તેણે ૧૮૬૫ થી ‘૭૫ના સમય દરમિયાન ખેડા જિલ્લાના રણછોડરાય ઉદયરામ દવે કૃત ‘લલિતા દુઃખદર્શક’, ‘બાણાસુર મર્દન’, ‘મદાલસા’, ‘જયકુમારી વિજય’ જેવાં નાટકો ભજવ્યાં. આમ, ગુજરાતી રંગભૂમિની સ્થાપના અને પ્રેરણાને રણછોડરાય દવેનાં નાટકોથી વેગ મળ્યો અને તે ગુજરાતી રંગભૂમિના પ્રવર્તક તરીકે પોંખાયા. ત્યારબાદ સૌરાષ્ટ્રના શ્રીમાળી અને ગૂગળી બ્રાહ્મણો, ઉત્તર ગુજરાતના નાયક, ભોજક અને મેરો, એ બધાએ પણ જુદી-જુદી નાટચસંસ્થાઓ સ્થાપી. ઈ.સ. ૧૮૭૫ સુધીના સમયમાં ‘મુંબઈ-ગુજરાતી નાટકમંડળી’, ‘મોરબી આર્ય સુબોધ નાટકમંડળી’, ‘દેશી નાટક સમાજ’, ‘નાની મોટી વાંકાનેર નાટકમંડળીઓ’  આમ, ઘણી બધી નાટ્ય સંસ્થાઓની સ્થાપના થઈ.

    પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપની’ દ્રારા ભજવાવેલ ‘રામાયણ’ નાટકનું એક દ્રશ્ય

    આ નાટ્યપ્રવૃત્તિમાં પોતાનો તન, મન અને ધનથી ભોગ આપનારાઓમાં કોઈ વકીલો, ડૉક્ટરો, વેપારીઓ અરે એ સમયના રજવાડાંનાં મોટા-મોટા દીવાનો અને અમલદારો પણ રંગભૂમિને સુદ્રઢ અને લોકપ્રિય બનાવવામાં મદદરૂપ થયા હતા. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિને ‘જૂની રંગભૂમિ’ અથવા ‘પરદા નાટક’ કહેવામાં આવે છે. નાટકમાં સ્થળ બતાવવા ચીતરેલા પડદા લટકાવવામાં આવતા. આ નાટકોની લોકમાનસ ઉપર જબરી પકડ હતી.

    કેટલીક સંસ્થાઓ પોતાના નામ પાછળ ‘સમાજ’ એવો શબ્દ વાપરતી, જેમ કે, ‘શ્રી દેશી નાટક સમાજ’, ‘શ્રી આર્ય નૈતિક નાટક સમાજ’, ‘શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ.’ એ સંસ્થાઓ ખરેખર એક સમાજરૂપે જ
    જીવતી, કારણ કે સંસ્થામાં સેટિંગ, સંગીત, પોશાક, હથિયાર, વિંગ, બૂટ અને જોડા, વીજળી-સાધનો, ભોજન વગેરે આ બધા વિભાગોના મળીને ૧૫૦થી ૨૦૦ જેટલા કલાકાર કસબીઓનો નિભાવ થતો. તેમના માટે રહેવા-જમવાની પણ વ્યવસ્થા રહેતી.

    અમુક નાટ્યસંસ્થાઓએ કેટલીક સંસ્કારપરંપરા પણ જાળવી રાખી હતી. ‘મોરબી આર્ય સુબોધ’ અને ‘પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટકમંડળી’ના રસોડે દરરોજ પાંચ-છ સાધુઓને જમાડાતા. જ્યારે વાંકાનેર સત્ય બોધક નાટક કંપનીમાં દર પૂનમે સત્યનારાયણની કથા કરવામાં આવતી. રાતના 3-4 વાગે નાટક પૂરું થવા છતાં સવારના સાત-આઠ વાગ્યે બધા ઊઠીને નિત્ય નિયમ પ્રમાણે નાહી-ધોઈ પૂજા-પાઠ પણ કરતા. કેટલીક વાર નાટયસંસ્થાને ચાલુ રાખવા કે ટકાવી રાખવા માટે માલિકોને જમીન, મકાન, દાગીના તથા કીમતી વસ્તુઓ ગિરવે મૂકવી પડતી કે વેચવી પડતી તો ઘણી વખત ઊંચું વ્યાજ પણ ચૂકવવું પડતું . તોપણ નવી સંસ્થાઓ શરૂ કરનારા તો નીકળી જ પડતા. તો નાણાકીય કટોકટીમાં ભાગી ગયેલા શેઠને ‘વાંકાનેર આર્ય હિતવર્ધક’ના કલાકારોએ બાજી સંભાળી લઈ, શેઠને માનભેર પરત બોલાવ્યા હોય એવું પણ બન્યું હતું.

    પ્રતિષ્ઠિત કલાકાર કંપનીમાં ટકી રહે તે માટે માલિક તેને ભાગીદાર  બનાવતો તો નાટક કંપનીઓ નાટકો માટે અન્ય પુષ્કળ ખર્ચ પણ કરતી. કહેવાય છે કે ૧૯૩૯માં લક્ષ્મીકાન્ત નાટક સમાજે પ્રભુલાલ દ્વિવેદીનું એતિહાસિક નાટક “અક્ષયરાજ’ ભજવ્યું તેમાં સિંહાસન બનાવવાનું ખર્ચ જ રૂ. ૭,૦૦૦/- થયું હતું. (કુલ ખર્ચ ૬૦થી ૭૦ હજાર). એની રજૂઆતને દિવસે પ્લે-હાઉસ ઉપર કલાકો સુધી ટ્રામ વ્યવહાર બંધ કરી દેવામાં  આવ્યો હતો. તો ‘હરિશ્વંદ્ર’ નાટક જોવાં લોકોનાં ટોળેટોળાં આવતાં. ચાર દિવસ અગાઉથી ટિકિટ રિઝવર્ડ કરાવે તો જ નાટક જોવાની તક મળે એવો પ્રસંગ પણ આ નાટકને પ્રાપ્ત થયો હતો. જ્યારે “સંગીત લીલાવતી’ નાટકમાં  ‘વીર વિલાસ’ની ભૂમિકામાં બાળનટ હરગોવિંદ મોતી, સાચાં કીમતી આભૂષણો પહેરતા હતા. ગુજરાતી રંગભૂમિની આ એક વિલક્ષણ ઘટના હતી.

    વિકાસ અને સવર્ણયૂગ

    ગુજરાતી રંગભૂમિની ચડતી-પડતીના ઇતિહાસમાં ૧૮૮૦થી ૧૯૧૦ સુધીનો ગાળો તેનો સુવર્ણકાળ કહી શકાય તેવો છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતી નાટક અને રંગભૂમિની અસ્મિતા પ્રગટ થઈ. ગુજરાતી રંગભૂમિનો તખ્તો પૌરાણિક, એતિહાસિક અને સામાજિક નાટકોથી ધમધમતો રહ્યો. તેમાં વીર, કરુણ, શૃંગાર અને હાસ્યરસની છોળો ઊડતી હતી.

    ગુજરાતી રંગભૂમિએ બુદ્ધ, સિકંદર, ચંદ્રગુપ્ત, હર્ષ જેવા ઇતિહાસખ્યાત વીરોથી લઈને શિવાજી, મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ અને નરસિંહ મહેતા જેવાં પાત્રોને પણ રંગભૂમિ પર અવતાર્યા હતાં. ગુજરાતના ખૂણે-ખૂણે ધરખમ નાટકમંડળીઓ પ્રવાસ કરતી હતી, સુરત, મુંબઈ, વડોદરા, કરાંચી, નડિયાદ તથા આણંદમાં રંગભૂમિનો રંગ અનેરો જામતો ગયો હતો. રંગભૂમિ સોળે કળાએ ખીલી ઊઠી હતી. એક બાજુ નાટકમંડળી પ્રેક્ષકો માટે પ્રવાસ કરતી તો પ્રેક્ષકો પણ નાટકો જોવા પ્રવાસ કરવાનું ન ચૂકતા. ગુજરાતમાં વસતા અને ગુજરાત બહાર રહેતા, (મુંબઈ, કલકત્તા, કરાંચી વગેરે.) ગુજરાતની તમામ કોમના માનવીઓ નાટક જોવા ઊમટતા. પૌરાણિક અને એતિહાસિક નાટકોના ૩૦૦-૩૦૦ પ્રયોગો ત્યારે થતા. નાટકની પહેલી રાત્રિએ વાતાવરણમાં ગજબની ઉત્તેજના રહેતી.

    નાટકનો આ રંગચટકો છેક કાઠિયાવાડનાં રજવાડાઓને પણ લાગ્યો હતો. જૂનાગઢ, વાડાસિનોર તથા ધ્રાંગધ્ા રાજ્યની પોતપોતાની માલિકીની નાટય-સંસ્થાઓ હતી. સૌરાષ્ટ બાજુનાં નાટકોમાં તેઓએ પોતાની ભાતીગળ  સંસ્કૃતિ અને કીર્તિ ગાથાઓને રંગભૂમિ પર લાવી, શૌર્યની સાથે દુહા-છંદ ભજન, અને રાસની આગવી પરંપરા સર્જી હતી. તો ઉર્દૂ તખ્તા લોકપ્રિય પેરે પણ આપણા ગુજરાતી કલાકારોએ એવી તો અદ્‍ભૂત કારકિર્દી જમાવી હતી કે નાટકોનો શોખીન પ્રેક્ષકસમુદાય તેને અનેક વાર જોવા ગીતો (ઉર્દૂ નાટકોની ભાષા સમજાય કે ન સમજાય) ઉમંગભેર જતો. આજની ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે રંગભૂમિ મારફત પ્રેક્ષકોને ‘રિચ  કલ્ચરલ એક્સિપિરિયન્સ’ થતો હતો. અને ગીતોની લિરીકલ માધુરી પણ તેમને સ્પર્શી જતી હતી.

    ‘સરદારબા’ નાટકનું અવિસ્મરણિય દૃશ્ય ઇ. સ. ૧૮૯૭

    આજે કોઈ સ્વીકારે કે ન સ્વીકારે ગુજરાતી રંગભૂમિની નાટ્યસંસ્થાઓમાં એવા નાટ્યલેખકો હતા જેમનાં શૈલી, ભાષાનું જોમ, ઉપમાઓ અને ભાવવાહી ગીતોની રચના પર ગુજરાતનો નાટચશોખીન વર્ગ ઝૂમી ઊઠતો, એવા કેટલાય નાટચલેખકો હતા જેઓ નાટક, પ્રહસન (કૉમેડી) અને ગીતો એ ત્રણેય પાસાંની એકસરખી કુશળતાથી રચના કરી શકતા. તેમાં ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી, મૂળશંકર મૂલાણી, ફૂલચંદ શાહ, કવિ ‘જામન’, ત્રાપજકર, પ્રભુલાલ ઠિવેદી, રઘુનાથ બ્રહ્મભટ્ટ વગેરેનો નામોલ્લેખ કરી શકાય.

    તે સમયે ગુજરાતી નાટકોનો દબદબો હતો. દેશી નાટક સમાજનું ‘વડીલોના વાંકે’ નાટક જોવા મુંબઈની શેઠાણીઓ સેલાં-પટોળાં પહેરીને  આવતી. ઇન્ટરવલમાં આજના પોપકોર્નની જેમ કાજુ-બદામ ખવાતાં. તે માટે ફેરિયા થિયેટરની અંદર આવી ખારાં કાજુ ને પિસ્તાનાં પડીકાં ચાર-ચાર આનામાં વેચતા. વગર ટિંકિટે કોઈ નાટક જોવા ઘૂસી ન જાય તેનો બંદોબસ્ત કરવા લાલા – પઠાણોને રોકવામાં આવતા. પાનની દાબડીઓ લઈ ધોતી-કુરતામાં સજ્જ શેઠો પાન ચાવતાં-ચાવતાં ઘોડાગાડીમાં બેસી   ‘ભાંગવાડી’  થિયેટરમાં નાટકો જોવા આવતા.  એકધારાં ત્રણ વર્ષ સુધી ચાલેલા “સૌભાગ્યસુંદરી” નાટકની “સુંદરી” પર તો આખું મુંબઈ આફરીન હતું. તેમને જોઈને મુંબઈની ગુજરાતણોએ પહેરવા-ઓઢવાની સ્ટાઇલ બદલી નાખી હતી. આ ‘સુંદરી’ એટલે જયશંકર ભોજક. જે આખી જિંદગી જયશંકર ‘સુંદરી’ નામથી જ ઓળખાયા. તો તે યુગમાં ‘મોહનલાલા”’ જેવા કલાકાર સ્ટેજ પર આવી, માથા પરથી વિગ ઉતારી માથું ખંજવાળતા અને ફરી પાછી વિગ પહેરી લેતા તોયે પ્રેક્ષકોને રસક્ષતિ થતી નહીં. તે સમયે મોહનલાલા, અશરફ ખાન, જયશંકર ‘સુંદરી’, બાપુલાલ નાયક, છગન ‘રોમિયો’ જેવા રંગભૂમિના કલાકારોએ આજના શાહરૂખ ખાન કે સલમાન ખાન જેટલી જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. આજની પેઢી તો કદાચ આ વાત માનશે નહીં, પરંતુ આ હકીકત છે.

    એક સમય એવો હતો જ્યારે છ-છ કંપનીઓ એકસાથે મુંબઈમાં આવી પડતી અને તીવ્ર હરીફાઈ જામતી. શહેર મહિનાઓ સુધી વાજતું-ગાજતું થઈ જતું. મુંબઈનું પ્લે-હાઉસ છેલ્લા દસકામાં રંગભૂમિના હૉલિવૂડ જેવું ગણાતું હતું.

    પ્રભુલાલ દિવેદી કહેતા કે,  ‘મુંબઈ શહેર એ તો દરેક રંગભૂમિનું આશ્રયસ્થાન છે.’ દરેકેદરેક નાટ્યકારોનું એ સપનું રહેતું કે, ‘રંગભૂમિઓના હૉલિવૂડ સમા મુંબઈમાં અમારાં નાટકો ભજવાય’. તો જાદરના નાયક-ભોજક ભાઈઓની ‘શ્રી મુદ્રણા નાટક સમાજે’ ૧૯૦૩માં એડન, ઝાંઝીબાર, મોરીસ, મસ્કત અને નૈરોબી જેવાં સ્થળોએ ગુજરાતી-હિંદી નાટકો રજૂ કર્યા હતાં. જે ખૂબ લોકપ્રિય થયાં હતાં. સાથે બાલીવાલા નાટકમંડળી તો ઠેઠ બ્રહ્મદેશ (આજનું બર્મા)ને લંડન સુધી તે જમાનામાં સફળતાથી નાટકો ભજવી આવી હતી. આ મંડળીઓએ વિદેશમાં પણ ગુજરાતી રંગભૂમિને યશ અપાવ્યો હતો.

    રંગભૂમિનું એક કામ સમાજ સાથે જોડાયેલા રહીને સમાજને જગાડવાનું પણ છે. (Vehicle of social change) આ કામ પણ જૂની રંગભૂમિએ બખૂબી કર્યું હતું. “અરુણોદય’ અને “વડીલોના વાંકે’ જેવાં નાટકોએ કેટલાંય ઘરભંગને  આરે ઊભેલાં દંપતીઓના મનમેળ કરાવ્યા હશે. તો માત્ર ૨૨/- રૂ.ની મૂડીથી શરૂ થયેલા લક્ષ્મીકાન્ત નાટક સમાજે  ‘અરુણોદય’ નાટકની કમાણીમાંથી લોકપ્રિય સુરતમાં પોતાની માલિકીનું થિયેટર બંધાવ્યું હતું. ૨૫ જુલાઈ, ૧૯૪૦ના રોજ  ‘જનાના’  ખેલની શરૂઆત થઈ હતી તો મૂળશંકર મૂલાણીના ‘રાજબીજ’  નાટકનો દરેક અંગ્રેજી માસના છેલ્લા શનિવારે સ્ત્રીઓ માટે ખાસ અલાયદો ખેલ રજૂ થતો, જેમાં માત્ર બહેનો અથવા બહેનો સાથે આવેલા ભાઈઓને જ પ્રવેશ મળતો અને કેખુશરો કાબરાજી તો નાટકોને સફળ બનાવવા જાતજાતના નુસખા અજમાવતા. નાટક જોવા આવતી સ્ત્રીઓનાં બાળકો માટે નાટકશાળાના કમ્પાઉડમાં ઘોડિયાંની ખાસ વ્યવસ્થા મંડળી તરફથી કરવામાં આવતી.

    તો ગુજરાતી નાટ્યકારોની રચનાઓના અનુવાદ ગુજરાતી સિવાયની રંગભૂમિ પર પણ ભજવાતા અને ખૂબ વખણાતા. જેમ કે ‘ હરિશ્ચંદ્ર’ નાટકનું ઉર્દૂ ભાષાંતર આગા હશરે કર્યું. જેના સંખ્યાબંધ પ્રયોગો થયા, જેણે એમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી. તો ‘નાટક ઉત્તેજક મંડળી’ માટે કાબરાજીએ કવિ નર્મદ પાસે પણ નાટકો લખાવ્યાં હતાં.

    રત્રી-કલાકારો અને અવનવા પ્રયોગો

    જયશંકર ‘સુંદરી’ સાથે મા. ત્રિકમ, રતિલાલ પટેલ, મા. ભીખુ, મા. હિંમત, મા. પ્રાણશંકર આચાર્ય, મા. ગોરધન, મૂળચંદ મામા, અમૃત જાની, શંકરલાલ નાયક, મા. વસંત આ બધાં નામચીન પુરુષ કલાકારોએ
    સ્ત્રીપાત્રોને બખૂબી ન્યાય આપી  સુંદર રીતે ભજવ્યાં હતાં. કારણ ૧૯૪૦ની આસપાસ સુધી ભાગ્યે જ કોઈ સ્ત્રી રંગભૂમિના ક્ષેત્રે કામ કરતી અને જેમણે ગુજરાતી રંગભૂમિમાં પ્રવેશ કરેલો, તેમાંની કેટલીક સ્ત્રીઓનાં તો નાટકમાં કામ કરવા બદલ સગપણ પણ તૂટી ગયાં હતાં.

    શરૂઆતના કાળમાં ગોહરબાઈ, મુન્નીબાઈ અને મિસ મેરી ફેન્ટન ઉર્ફે મેહરબાઈએ સ્ત્રી-કલાકારો તરીકે સારું આકર્ષણ જન્માવ્યું હતું. પછી તો મોતીબાઈ, કમળાબાઈ કર્ણાટકી, રામપ્યારીબાઈએ પણ પોતાના અભિનયનાં ઓજસ પાથર્યા ને રાણી પ્રેમલતા, કુસુમ ઠાકર, રૂપકમલ, મનોરમા, શાલિની, સરસ્વતી દેવી વગેરે પણ ખૂબ જાણીતાં બન્યાં હતાં. તો ગુજરાતી તખ્તાની વિજયા દેશમુખે પછીથી ‘સંધ્યા’ તરીકે વી. શાંતારામની ફિલ્મોમાં પણ ખૂબ પ્રખ્યાતિ મેળવી હતી અને શાન્તા આપ્ટે જેવી સુંદર ગાયકી ધરાવતી અભિનેત્રી પણ ગુજરાતી તખ્તે ચમકી ગઈ હતી.

    જ્યારે ટેક્નોલૉજી એટલી વિકસી ન હતી ત્યારે પણ અવનવા પ્રયોગો કરી પ્રેક્ષકોને મનોરંજક અને આનંદપૂર્ણ અનુભવ થાય તેનો ખ્યાલ રખાતો. |હરિહર  ‘દીવાના’  રચિત  ‘સતી તોરલ’ નાટક (૧૯૧૫)માં ઘોડી તોરલને રંગમંચ પર લાવવામાં આવી હતી તો ‘ગરીબ ગાય’ નાટકમાં જીવતી સફેદ સુંદર ગાયને ટ્રેઈન કરી સ્ટેજ પર લાવવામાં આવતી. પાગલકૃત ‘સરાષ્ટ્ર વીર’માં પ્રાણસુખ ‘એડીપોલો’એ બહારવટિયા ભાથીના પાત્રમાં સ્ટેજ ઉપર ઝાડ લાવી ટારઝન જેવા સ્ટંટ કર્યા હતા ને ૧૯૪૨માં “પ્રભાત કલા મંડળ’ના ‘લવકુશ’ નાટકમાં વાલ્મીકિત્રકષિના આશ્રમવાળા દશ્યમાં રંગમંચ પર સસલાં, હરણ, સફેદ કબૂતરો, શાહમૃગ, વાંદરાં વગેરે રજૂ કરવામાં આવ્યાં હતાં. ટેક્નોલૉજીના સહારે અનેક દિલચશ્પ પ્રયોગો પણ તખ્તા પર રજૂ કરવામાં આવતા. તે વખતે દરેક કંપનીમાં આવી એક વ્યક્તિ રહેતી. ‘આર્યનૈતિક’માં પેઇન્ટર મહંમદ આલમ તો  ‘મોરબી કંપની’માં મા. રંગીલદાસ ને  ‘દેશી’માં જહાંગીર મિસ્ત્રી અને ‘મુંબઈ ગુજરાતી’ના મૂલાણી બચુભાઈ રૂઘનાથની કલાસૂઝને પરિણામે જે-તે સંસ્થાઓનાં પૌરાણિક નાટકોને સારી ખ્યાતિ મળી હતી. તો પેઇન્ટર ખાનના  ‘ઓમ કલામંડળ’ના  ‘જેસલ-તોરલ’  નાટકમાં દરિયાનું દશ્ય, મંદિરમાં મૂર્તિમાંથી અગ્નિ પ્રગટ થયાનું દશ્ય, સુધીર શેઠ સામે તોરલનું હાડપિંજર બની જવાનું દશ્ય ને ‘સળગતો-સંસાર’માં પુલને બોંબથી તોડી નાખવાનું દશ્ય ખૂબ વખણાયાં હતાં સાથે નાટચજગતમાં બેકસ્ટેજ માટે ગુજરાત અગ્રિમ સ્થાન ધરાવે છે એના એક યશદાર નારણભાઈ મિસ્ત્રી પણ ખરા!

    મૂશ્કેલીઓ અને અસ્ત

    દયાશંકર ‘ઉસ્તાદ’ હંમેશાં કહેતા કે, ‘ નાટ્યસંસ્થાના માલિક થવું અને તે વ્યવસ્થિત ચલાવવી એ પારો પચાવવા જેવું દુષ્કર કાર્ય છે.’ નાટક કંપનીનો રસાલો એટલે નાના-સૂના રજવાડાંના વહીવટ જેવડો  વહીવટ. આવડું મોટું તંત્ર ચલાવવામાં પડતી આર્થિક મુશ્કેલી, સિસ્ટમનો અભાવ, નિષ્ફળ નાટકોથી કંપનીને પડતી માર, નાટક કંપનીના આવક-જાવકના આંકડાના ‘બજેટ’ની ખામી અને અનામત ફંડનો અભાવ જેવી બાબતો મુશ્કેલી સર્જી દેતી. વળી, વરસમાં 8 મહિના જ ધંધો કરી શકાય. ચોમાસાના ચાર મહિના ધંધો બંધ રાખવો પડે. સાથે અનેક પ્રકારનાં લાઇસન્સ મેળવવાં પડે. અજાણ્યાં ગામોમાં ગુંડાતત્ત્વોનો સામનો પણ કરવો પડે. આવી તો અનેક પ્રકારની હાડમારી અને સમસ્યાઓ સામે લડવાની માલિક તેમ જ વ્યવસ્થાપકોને ફરજ પડતી. માટે જ નાટયસંસ્થાના અનુભવી માલિક બળદેવપ્રસાદ હીરાલાલ નાયક કહેતા કે, ‘નાટયસંસ્થાના માલિક થવું એટલે સો વીંછીઓના ડંખની વેદના સહેવા બરાબર છે.’ વળી, સ્થાન ટકાવી રાખવા ખેલાતા પેંતરા અને અંતરંગ ચાલતી કેટલીક ક્ષતિઓ તો ખરી જ.

    પરંપરાગત રંગભૂમિની અંતિમ સમાધિ  – ભાંગી રહેલું ભાંગવાડી  થિયેટર

    ૧૯૩૦ પછીના કાળમાં થતા વારંવારનાં કોમી રમખાણો, સ્વાતંત્ર્ય માટેની લડતો અને ખાસ કરીને બોલતી ફિલ્મોના આગમને એવી સિથિતિ સર્જી કે ગુજરાતી રંગભૂમિ જોતજોતામાં પાનખરની અવસ્થામાં આવી ગઈ.

    આ રંગભૂમિની પડતીનાં અનેક કારણોમાંથી કેટલાંક એટલે કૃત્રિમ બેતબાજી, અતિ રંજિત અભિનય, ગીત-સંગીતનો અતિરેક, પડદા સેટિંગ્સ, યાંત્રિક કરામત પાછળ લખલૂટ ખર્ચ, કલાને ભોગે કસબ, કરામત વગેરેનું પ્રાધાન્ય, સસ્તા મનોરંજનની સામગ્રીનો અવિવેકી અતિરેક જેવી વિકૃતિઓને ગણાવી શકાય. દેશી રજવાડાંના કારોબાર અને કાવાદાવાને ટપી જાય એવી આંતરિક ખટપટો આ રંગભૂમિના નેપથ્યે ખેલાતી રહેતી. વળી, ધંધાદારી રંગભૂમિ સમય, દેશ, કાળ સાથે તાલ મિલાવી શકી નહીં. બીજા વિશ્વયુદ્ધ બાદ સમસ્ત જીવનનાં મૂલ્યોમાં જે પરિવર્તન આવ્યું તેને અનુરૂપ આ નાટય-સંસ્થાઓ થઈ શકી નહીં.

    કંપનીના માલિકોમાં પણ કલા અને સાહિત્ય પ્રત્યેનો આદર ઘટ્યો ને કેવળ બૉક્સ ઓફિસ પર જ નજર રાખવાથી આ દુર્ભાગી રંગભૂમિની પ્રગતિ અટકી ગઈ ને આવેલી અઢળક સંપત્તિ રેસમાં, જુગારમાં કે આડા-અવળા માર્ગે વેડફાઈ જવા લાગી. નાટક માટેનાં થિયેટરો સિનેમાગૃહ બની ગયાં ને ફિલ્મો પ્રત્યે પ્રેક્ષકોનું મન ખેંચાતાં નાટકો તરફની રસવૃત્તિ ઓછી થવા માંડી. નવા શક્તિશાળી લેખકો, કલાકારોને પણ ઘસાતી જતી રંગભૂમિનું આકર્ષણ રહ્યું નહીં. ગીતો આવાં બધાં કારણોને લીધે નાટયસંસ્થાઓ ધીમે-ધીમે બંધ થવા લાગી.

    તેમ છતાં આ જૂની રંગભૂમિના માલિકો અને સંચાલકોના હૈયાની હિંમત, પોતાના કલાકારો તેમ જ અન્ય કામદારો પ્રત્યેની હમદર્દી અને ફરજનું ભાન એ ભૂલવા જેવી બાબતો નથી. એ સાથે એકસો પાંચ ડિગ્રી તાવમાં પડેલા કે કુટુંબમાં કોઈ અકસ્માત કે મૃત્યુ થવા છતાં બધું જ ભૂલી જઈને નાટકમાં પોતાની ભૂમિકાને ન્યાય આપી રહેલા એ અદાકારોને પણ કેમ ભુલાય ?

    સમાપન

    ચાર-પાંચ દાયકા દરમિયાન એ રંગભૂમિએ એક ઇતિહાસ સર્જ્યો હતો. અભિનય અને સૂરના સાધક અને કલાના મરમી એવા એ સમયના સર્વ કલાકારો, દિગ્દર્શકો, માલિકો, નાનામાં નાના કલાકાર કસબી… સલામ એ સાંસ્કૃતિક દેવદૂતોને !

    આ મંડળીઓએ પાડેલી પ્રણાલીને અનુસરીને ૧૯૨૦ સુધીમાં બીજી ૨૦૦-૩૦૦ મંડળીઓ અસ્તિત્વમાં આવી હતી. તેમાંની ઘણીખરી બે-ચાર વર્ષ કે તેનાથી પણ ઓછો સમય ચાલીને બંધ પડી ગઈ. તો પ્રાદેશિક લોકનાટ્યોની પરંપરાગત રંગભૂમિ એક સમૂહમાધ્યમ તરીકે આજે પણ કેટલાંય ગામડાંઓમાં જબ્બર લોકપ્રિયતા ધરાવે છે.

    અનેક મર્યાદાઓ છતાં ગુજરાતની આ વ્યવસાયી રંગભૂમિ એક અનોખું સાંસ્કારિક આંદોલન હતું. જેની પાછળ પાંચસો જેટલી નાટયસંસ્થાઓ, એકસોથી વધુ દિગ્દર્શકો અને એટલા જ રંગકર્મીઓ તથા એક હજારથી વધુ અભિનેતાઓ, ચારસો જેટલી અભિનેત્રીઓ અને ત્રણસો જેટલા સંગીતકારોનો, દોઢસો જેટલા લેખકોએ લખેલાં લગભગ બારસો જેટલાં નાટકો ભજવવાનો દોઢસો વર્ષનો સહિયારો પુરૂષાર્થ પડેલો છે. રંગભૂમિના ઇતિહાસમાં તેનું ઉજ્જ્વળ પ્રકરણ હંમેશાં આનંદ અને અભ્યાસનો વિષય રહેશે.

    છેલ્લાં ૭૦-૭૫ વર્ષથી નવી રંગભૂમિની પ્રવૃત્તિ જોવા મળે છે. વ્યવસાયી ધોરણે મુંબઈ, અમદાવાદ, વડોદરા અને સુરત જેવાં શહેરોમાં  છૂટીછવાઈ સંસ્થાઓ દ્વારા નાટકો ભજવાય છે. તેમાં ઘણા સુંદર પ્રયત્નો થતા રહે છે તેમ છતાં નવી રંગભૂમિનો પિંડ બાંધી આપે તેવા ટી.વી., લોકપિય ફિલ્મ અને સોશિયલ મીડિયાના. આક્રમણને ખાળી શકે તેવા જૂના અને વીતેલાના સમન્વયરૂપ એવાં જ બીજાં આંદોલનની રાહ જોવાય છે…


    ક્રમશઃ


    હવે પછી –
    રંગભૂમિમાં ગીત – સંગીત

    સુશ્રી જીનાબેન શેઠનો સંપર્ક આ વિજાણુ સરનામે થઈ શકે છેઃ jeenavsheth@gmail.com


  • સૂનકાર

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    આ એવો સમુદ્ર તટ છે જ્યાં ઊભા રહીને સૂનકાર કોને કહેવાય એનું વર્ણન કરવું અશક્ય છે. સમુદ્રમાંથી ઊઠતાં પાણીનાં મોજાંનો અવાજ, મોજાં પાછાં વળી જાય ત્યારે કેટલાય છોકરાંઓની કલબલ. પાછળ વિવિધ ખાદ્ય ચીજો વેચવાવાળાનો અવાજ…અવાજ..સતત અવાજ.

    જોકે, મને કશું જ નથી સંભળાતું. જાણે કોઈ મૂક ફિલ્મ જોતો હોઉં કે અવાજ બંધ રાખીને ટી.વી.જોતો હોઉં એમ મારા માટે સઘળે ઘેરો સૂનકાર છે.

    થોડા દિવસથી શ્રવણશક્તિ ઘટી હતી. દીકરાને કહ્યું તો એણે મને ટકોર્યો,

    “ઓછું સંભળાય છે તો મશીન પહેરી કેમ નથી રાખતા?”

    મશીનથી ફાયદો નથી જાણીને એણે ઈશારામાં ડૉક્ટર પાસે લઈ જશે એમ કહ્યું. પુત્રવધૂ માટે તો આ કોઈ સમસ્યા જ નહોતી. નિવૃત્ત માણસને વળી શું ફરક પડે? હવે એને કેવી રીતે સમજાઉં કે, બહેરાપણું નિવૃત્ત વ્યક્તિ માટે કેવો શ્રાપ છે?

    દીકરી અને જમાઈ બંને કામ કરે છે. જમાઈના મા ગુજરી ગયાં પછી મારી પત્ની દીકરીને મદદ કરવા એના ઘેર રહે છે. એને મારી તકલીફ જણાવીને કોઈ ફાયદો નહોતો છતાં કાગળ લખીને જણાવવાનું વિચાર્યું.

    ધીરેધીરે ઉજાસ ઓછો થયો એમ સમુદ્રતટ પર લોકોની અવરજવર ઓછી થતી ગઈ. પાછળથી આવતાં વાહનોનો અવાજ સંભળાતો નહોતો એટલે એની અડફેટમાં ન આવી જવાય એવી સતર્કતાથી મેં ઘર તરફ ચાલવા માંડ્યું. ઘેર પહોંચ્યો ત્યારે પૌત્ર અને પૌત્રી વચ્ચે કોઈ વાતે ઝગડો ચાલતો હશે અને પુત્રવધૂ એમને સમજાવવા મથતી હશે એવું લાગ્યું. પહેલાંનો સમય હોત તો ઝગડાનું કારણ જાણીને એમને સમજાવવા પ્રયાસ કરી શક્યો હોત.

    સાંજે જમીને સૌ ટી.વી.ની આસપાસ ગોઠવાયાં. પુત્રવધૂને ધારાવાહિકમાં રસ, છોકરાંઓને કાર્ટૂન નેટવર્કમાં રસ. દીકરો એની ઑફિસની ફાઇલો ખોલીને બેઠો હતો. મારા માટે આ કશું જ કામનું નહોતું. હું બહાર વરંડામાં જઈને માર્ક ટ્વેનની ‘હકલબેરી ફિન’ વાંચવા માંડ્યો. આમ તો આ છોકરાંઓ માટેનું પુસ્તક છતાં મને હજુ આ પુસ્તક ગમે છે. આમ જોવા જઈએ તો બાળપણ અને ઘડપણ એક જેવાં જ ને?

    ટી.વી પર ચાલતા પ્રોગ્રામ કે છોકરાંઓ વચ્ચેના વિખવાદ, મને ક્યાં સંભળાવાના એટલે આરામથી વાંચતો રહ્યો. ક્યારેક લાગે છે કે, ન સંભળાવાના લાભ તો છે.

    જોકે, મારી પસંદગીનાં ગીતો ન સાંભળી શકવાનો અફસોસ પણ ઓછો નથી. રાત પડે અનેક વિચારો અને ચિંતાથી મન ઘેરાઈ જાય છે. સમજાતું નથી કે, આ ચિંતાઓ ન સંભળાવાના લીધે છે કે ઉંમરના લીધે?

    ના ઘડિયાળની ટીકટીક, ના પંખાની ખટખટ. ફક્ત શાંતિનો કોલાહલ. પહેલાં વીજળી જાય અને પંખો બંધ પડે તો એનો સન્નાટો વર્તાતો. અત્યારે પંખો ચાલે છે તોયે સન્નાટો. હવે સન્નાટાની ટેવ પડવા માંડી છે કે શું?

    એક વાર્તા વાંચી હતી એ યાદ આવી. લખ્યું હતું,

    ‘દિવસભરમાં જરૂર ના હોય એવા કેટલાય શબ્દો, જેનાથી તકલીફ પહોંચે એવી કેટલીય વાતો લોકોને સાંભળવી પડે છે. જેમ આંખો પર પાંપણ છે એવી રીતે કાનનેય પાંપણ હોય તો અવાંછિત ગરબડથી બચી શકાય?’

    ‘ભગવાને મને ખૂલે જ નહીં એવી પાંપણો આપી હશે? હું હસી પડ્યો. ન સંભળાવાના ફાયદા શોધવા માંડ્યો.

    ‘વાહ, ચારેકોર ગમે એટલો અવાજ કેમ ન હોય, હું શાંતિથી વાંચી શકુ છું. કોઈની સાથે વિવાદ નથી થતો. કોઈ ગમે તે બોલે કે ઘાંટા પડે એ નહીં સંભળાય. દૂર ક્યાંક માઇક પર ઘોંઘાટ થતો, એની મને અકળામણ થતી. હવે એની ચિંતા નહીં. દિવાળીમાં બોંબ ફૂટે તો હવે કાનમાં ધાક નહીં પડે, પરમ શાંતિ.

    બીજા સપ્તાહે દીકરો મને ઈ.એન.ટી. પાસે લઈ ગયો. બંને વચ્ચેની વાત સંભળાતી નહોતી. વાતના હાવભાવ પરથી લાગ્યું કે, સર્જરી કરવી પડશે.

    નિષ્ણાત ડૉક્ટર પાસે સર્જરી કરાવવાની હતી. એનો ખર્ચો ત્રીસ હજાર થશે એ જાણીને આંચકો લાગ્યો. દીકરીના લગ્નનો ખર્ચો, પોતાનું ઘર બનાવવાનો ખર્ચો કાઢ્યા પછી નિવૃત્તિમાં ખાસ બચત રહી નહોતી. પેન્શનની રકમ બેંકની લૉન ભરવામાં વપરાતી. દીકરો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. એની કમાણીમાંથી ઘર ચાલે છે એટલે એની પાસે ઝાઝી બચત નહીં હોય એ હું સમજતો હતો.

    એક બાજુ દીકરા પર ખર્ચાનો ભાર, બીજી બાજુ જીવનભરનો સૂનકાર. બંને વસમી સ્થિતિ.

    બીજું એક સપ્તાહ પસાર થયું. ઘરમાં કોઈએ સર્જરી અંગે વાત ન કરી. ક્યારેક દીકરો અને પુત્રવધૂ મારી સર્જરીને લઈને વાત કરતાં હશે, કદાચ વિખવાદ પણ થતો હશે. પુત્રવધૂને મારી સર્જરી માટે આ ઉંમરે આટલો ખર્ચો કરવાનું બેકાર લાગતું હશે, એવું હું સમજી શકતો.

    ન તો આ ચર્ચાનો કોઈ ઉકેલ હતો કે ન અંત.

    ચાર દિવસ પછી દીકરાએ સર્જરીનું નક્કી થઈ ગયું છે એવો જાણ કરતો પત્ર બતાવ્યો.

    કેવી રીતે વ્યવસ્થા કરી હશે? ઑફિસમાંથી લૉન લીધી હશે? અનેક વિચારો અને ચિંતાથી હું અકળાયો.

    “ઑફિસમાંથી કેટલાક સહકર્મચારીઓએ મદદ કરી છે.” અનેક સવાલો કર્યા પછી દીકરાએ કાગળ પર લખીને જણાવ્યું.

    થોડી શાંતિ થઈ. હાશ, એ પૈસા હપતે હપતે વાળી શકાશે.

    જોકે બે દિવસ પછી રસ્તામાં મળેલા રંગાસ્વામી પાસેથી ખરી જાણકારી મળી.

    મારા કાનની સર્જરી અંગે રંગાસ્વામી જાણવા માંગતા હતા. નવાઈ લાગી કે, એમને મારી સર્જરીની કેવી રીતે જાણ થઈ હશે?

    હમણાંથી ક્યાંય જવાનું થાય તો ખીસ્સામાં કાગળ-પેન રાખવાની ટેવ પાડી છે. ઝટ દઈને કાગળ-પેન રંગાસ્વામીના હાથમાં પકડાવ્યાં.

    એમણે જે લખ્યું એ વાંચીને ખૂબ આઘાત લાગ્યો. પુત્રવધૂને પિયરથી ચઢાવામાં આવેલા દાગીના અને પૌત્રી માટે બનાવેલી સોનાની હાંસડી રંગાસ્વામીના ત્યાં ગિરવી મૂકીને પૈસા ઉધાર લીધા હતા.

    આ વિશે મને જાણ નહીં હોય એવું રંગાસ્વામીને ક્યાંથી ખબર?

    આ રસ્તો પુત્રવધૂએ કાઢ્યો હતો એવું પણ એમણે જ લખ્યું.

    ‘ઓહ, આજ સુધી હું એને સમજી શક્યો જ નહોતો !?’

    સર્જરી પહેલાં કરાવવા પડતા જરૂરી ચેકઅપના રિપોર્ટ લેવા ગયા ત્યારે દીકરા અને ડૉક્ટર વચ્ચે કંઈક તો ગંભીર ચર્ચા ચાલી.

    દીકરાએ લખ્યું,

    ‘ઈ.એન.ટી. નિષ્ણાત સર્જનનું માનવું છે કે, ઉંમર અને અન્ય રિપોર્ટ જોતાં સર્જરીની સફળતા અંગે સંપૂર્ણ ખાતરી નથી. શ્રવણશક્તિ પાછી મળવાની શક્યતા ઘણી ઓછી છે એટલે સર્જરીનો નિર્ણય વિચારીને લેવો.’

    દીકરાનું માનવું હતું કે, ‘ગમે તે થાય સર્જરી તો કરાવી લેવી છે. પપ્પા થોડું પણ સાંભળી શકે તો ગનીમત.’

    કાગળ વાંચીને મેં લખ્યું, ‘બેટા, ડૉક્ટરની વાત સાથે સંમત છું. ખરેખર કહું તો ડૉકટરે મારા મનની જ વાત કહી છે. જો સર્જરીથી કોઈ ખાતરીબંધ પરિણામ ન મળવાનું હોય તો એ વાત પડતી મૂકી દે. બહેરાપણું મને સદી ગયું છે. હવે એના લીધે ઝાઝી પરેશાની નથી લાગતી.’

    *****

    હાશ, આગલા દિવસે ડૉક્ટર સાથે કરેલી વાતથી સર્જરીના નિર્ણયમાં આટલો ફરક પડ્યો એની નિરાંત અનુભવી રહ્યો.

    આગલા દિવસે ડૉક્ટરને મળીને જણાવી આવ્યો હતો કે, ‘હું આ સર્જરીની સાવ વિરુદ્ધ છું. હવે મને સાંભળવાની શક્તિ પાછી મેળવવાની કોઈ ઈચ્છા નથી. દીકરાએ ઉધાર લઈને સર્જરી માટે વ્યવસ્થા કરી છે એ મને જરાય મંજૂર નથી. હું સંજોગોને ધ્યાનમાં લઈને સર્જરીની ના પાડું છું એ જાણીને દીકરો દુઃખી થશે, મારી વાતનો વિરોધ કરશે.’

    અને ભારપૂર્વક વિનંતી કરી હતી,

    ‘કૃપા કરીને મારી આટલી મદદ કરશો? તમે જ એને કહેજો કે આ સર્જરીથી ઝાઝો ફાયદો થવાનો નથી.‘

    મારી વિનંતી ડૉક્ટરે માની.

    બસ, હવે શબ્દોની દુનિયામાંથી વિદાય લઈને સદાના માટે ‘સૂનકાર’ સ્વીકારી લીધો છે.


    માન્યમ રમેશકુમાર લિખિત કોલ્લૂરિ સોમ શંકર અનુવાદિત વાર્તા –‘શબ્દ’ પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • શહીદી

    અર્જુનસિંહ. કે. રાઉલજી

    અચાનક પવનનો જોરદાર ઝપાટો આવ્યો .કાચની બારી ફટાક દઈને બારીની જ ધાર સાથે અથડાઈ , હીંચકે બેઠી બેઠી પેપર વાંચતી સુમીના હાથમાંથી પેપર છૂટી ગયું , દૂર ખૂણામાં જઈને પડ્યું .બારીના કાચ તૂટી ગયા અને ખ..ણ..ણ.. અવાજ સાથે નીચે પડ્યા . દીઠાનું ઝેર છે ને ભાઈ , દીઠાનું .. એવું જ થયું . સુમી ઉભી થઈને હજુ તો કાચના નાના નાના ટુકડાઓ જોતી હતી , ત્યાં તો હરવિંદરના ફોટા ઉપરથી ફટાક થઈને બેઠેલી ચકલી ઉડી ,ફોટાને હચમચાવતી ગઈ , ફોટો દિવાલ ઉપરથી નીચે પડ્યો –હરવિંદરના ચહેરાના જાણે કે અસંખ્ય ટુકડાઓ થયા , તેની નીચેની ફરસ કાચ કાચ થઈ ગઈ .સુમી બારીના કાચ ભેગા કરવાના બદલે ફરસ ઉપર પડેલા ફોટાના કાચ અને તેની કરચો પાસે આવી .

    તેણે ધારી ધારીને જોયું , ફોટા ઉપર ચઢાવેલી સુખડની માળા પણ તૂટી ગઈ હતી , તેનો એકે એક મણકો જુદો પડી ગયો હતો . તેણે ટુકડા ટુકડા થઈ ગયેલા કાચમાં જોયું – તો તેમાં તેને હરવિંદરનો ચહેરો તો ના દેખાયો , પણ પોતાનો ટુકડા ટુકડા થઈ ગયેલો ચહેરો દેખાયો ..! તે નિરાશ થઈ ગઈ , ધારી ધારીને હરવિંદરનો ચહેરો શોધવાનો પ્રયાસ કર્યો પણ તેમાં તેને સફળતા ના મળી .મનોમન બબડી – મારું અક્ષત યૌવન તોડવાની તો તને નવરાશ ના મળી પણ ,તારો ચહેરો જોઈને હું મારું આ ભારરૂપ જીવન વિતાવતી હતી , તને તેની પણ અદેખાઈ આવી ગઈ મારા હરૂ ? કણ કણ થઈ ગયેલો ફોટામાંનો હરવિંદર જાણે કે તેના તરફ જોઈ કણ કણ હસતો હતો .

    તે ફરીથી મનોમન બોલી- જા તારી સાથે નહીં બોલું , તારી કિટ્ટા ..! પણ હરવિંદર ક્યાં સાંભળતો હતો ? હરવિંદર જ્યારથી તેને છોડીને ગયો ત્યારથી જાણે કે તેનો આજ ક્રમ થઈ ગયો હતો. કાયમ હીંચકે બેઠી બેઠી દક્ષિણ દીવાલે ટીંગાડેલા હરવિંદરના ફોટા સાથે વાતો કરતી રહેતી સ્વગત ..! તેનાથી એને પોતાના હરૂને મળ્યા જેટલો સંતોષ મળતો ..! જે કાંઈ ફરિયાદો હોય તે તેના હરૂને કરતી. ફોટામાંનો હરવિંદર તેની ફરિયાદો સાંભળતો પણ ખરો ,પણ કોઈ જવાબ આપતો નહીં –માત્ર મંદ મંદ હસતો રહેતો ,.

    તેના માટે તો તેનો હરૂ જાણે કે તેના ફોટામાં જ જીવતો હતો , તેમ છતાંય સુમીને હરવિંદર સાથે વાતો કરી હોય એટલો સંતોષ થતો .ફોટો જ તેનો એક માત્ર આધાર હતો , તે પણ તૂટી ગયો. તેણે ફોટા સામે જોઈ ફરીથી ફરિયાદ કરી –માત્ર આટલું જ સુખ બાકી રહ્યું’તું મારા જીવનમાં , તને મારા એ સુખની પણ અદેખાઈ આવી અને તેં એ સુખ પણ છીનવી લીધું ? પણ હરવિંદર તેના પ્રશ્નનો જવાબ આપવા ક્યાં હાજર હતો ?તે તો ફોટામાં ને ફોટામાં જ હસતો રહ્યો ..!

    હરવિંદર ગયો ત્યારથી જાણે કે તેના જીવનમાં અંધાર છવાઈ ગયો હતો , એ અંધાર ધીરે ધીરે વિસ્તરીને આખા ઘરમાં ફરી વળ્યો હતો , તે પાગલની જેમ –ભૂતની જેમ આખા ઘરમાં બહાવરી બહાવરી થઈને ફરી વળતી હતી , તેના જીવને ઘરના કોઈ પણ ખૂણે ચેન પડતું નહીં. છેવટે તે આ રૂમમાં આવતી , હીંચકે બેસતી, પગના ઠેલાથી હીંચકો હલાવતી અને હીંચકે ઝુલતાં ઝુલતાં હરવિંદરના ફોટા સામે, તેના ચહેરા સામે ટગર ટગર નાના બાળકની જેમ તાકી રહેતી તેના જીવને શાતા વળતી અને જીવન જીવવા જેવું લાગતું …!

    જ્યારથી હરવિંદર ગયો ત્યારથી જાણે કે તેના જીવનનો આજ ક્રમ થઈ ગયો હતો .મનમાં કાંઈક અસંતોષ જેવું લાગે ,મનને ચેન ના પડે કે મન અસ્વસ્થ થઈ જાય તેવી કોઈ ઘટના ઘટી હોય ત્યારે તે આ રૂમમાં આવી જતી , હીંચકે ઝુલતાં ઝુલતાં હરવિંદરના ફોટાને તાકી રહેતી , તેની સાથે વાતો કરતી , મનનો ઉભરો હરવિંદર સમક્ષ ઠાલવતી ,તેને પોતાને એમ લાગતું કે તેણે જાણે કે પોતાના હરૂ સાથે જ મનની વાત કરી છે ,મનને કાંઈક શાતા વળતી .. આ રૂમ ,આ હીંચકો અને હરવિંદરનો ફોટો જાણે કે તેની એકલતાનાં , તેની વિરહ વ્યથાનાં સાથી બની ગયાં હતાં,

    સુમીએ નિસાસો નાખ્યો ..! ગરમ ગરમ ઉચ્છવાસ બહાર પડ્યો .. તેણે હરવિંદરને જ ફરિયાદ કરી , તને મારી આ વાતની પણ અદેખાઈ આવી ..!? તેં મારૂં આ સુખ પણ છીનવી લીધું ?

    સુમીએ જાણે કે ડૂસ્કું મૂક્યું. તારી સાથે લગ્ન તો કર્યું પણ મારા કિસ્મતમાં સુખ જ નહોતું ..!

    ​અરે ..! તારા મ્રુત્યુના સમાચાર આવ્યા,  તારું ડેડબોડી અહીં લાવવામાં આવ્યું ત્યારે પણ, મને તારા ડેડબોડી સાથે એકાંતમાં વાત કરવાનો મોકો ના મળ્યો ..! તેં અને તારી શહીદીએ મારો એ મોકો, મારૂં એ સુખ પણ મારી પાસેથી છીનવી લીધું ..! કેટલી બધી પબ્લિક ભેગી થઈ હતી , માનવ મેદનીનો જાણે કે મહાસાગર ઉભરાતો હતો … પગ મૂકવાની પણ જગ્યા નહોતી …મને તારા ચહેરાનાં દર્શન કરવામાં પણ મુશ્કેલી પડી હતી ..! પછી તારી સાથે એકાંતમાં વાત કરવાનો તો પ્રશ્ન જ ક્યાં હતો? અને મારી સ્વગત બોલાતી વાત તું ક્યાંથી સાંભળી શકે ?

    અહીં તો” હરવિંદર અમર રહો ,વીર શહીદ અમર રહો , હરવિંદર ઝીંદાબાદ “ ના ગગનભેદી નારા લાગતા હતા, કોઈની વાતો કાને પડતી નહોતી ..! અને પછી તો સાત ધડાકાની સલામી … સેલ્યુટ ..માર્ચ પાસ્ટ … અને હું તારી સાથે વાત કરૂં , તારું મોંઢું ધરાઈ ધરાઈને જોઉં તે પહેલાં તો તિરંગામાં વીંટળાયેલા તારા દેહને એ લોકોએ ઉપાડી લીધો …મારી છાતી ગજ ગજ ફૂલતી હતી , પણ હૃદય તો જાણે કે ધબકારા ચૂકી જતું હતું , હું જીવતી જ કેમ રહી ?

    એ વાતનું જ મને આશ્ચર્ય થતું હતું .તારૂં ડેડબોડી જોઈને જ ચક્કર ખાઈને પડવી જોઈતી હતી , પણ એવું ના થયું –મારૂં નિષ્ઠુર દિલ બંધ ના થયું અને “ હરવિંદર અમર રહો … હરવિંદર ઝીંદાબાદ” સાંભળતી સાંભળતી હું બેભાન થઈ ગઈ ,જ્યારે ભાનમાં આવી ત્યારે તારો દેહ ભસ્મીભૂત થઈ ગયો હતો … લોકો તો રાજી થતા હતા , તું સરહદની રક્ષા કરતો કરતો શહીદ થઈ ગયો …તારું નામ અમર રહેશે ..! તારી ઝીંદાબાદ થતી હતી પણ મારૂં શું ? કોઈને મારી શહીદી દેખાતી નહોતી ..! તું તો મરીને અમર થઈ ગયો, પણ મારે તો જીવતે જીવ દોઝખની યાતના ભોગવવાની હતી. લોકો માટે તો તું અને તારી શહીદી તેમના દિલમાં જીંદા જ હતી, પણ મારૂં શું ? મેં તો પતિ ગુમાવ્યો હતો ,મારૂં જીવન ગુમાવ્યું હતું , મારો આધાર ગુમાવ્યો હતો ..હું શું કરૂં ? માત્ર તારા આ ફોટાના સહારે જ હું જીવતી હતી ..! કેટલી ઝીણી ઝીણી નકશી કરી કલાકારે તને ફોટામાં જીવિત કર્યો હતો, તારી શહીદીના માનમાં માત્ર અને માત્ર કાચ ઉપર નકશીકામ કરી તેને આ ફોટો તૈયાર કર્યો હતો અને તારી યાદ રૂપે મને ભેટ આપ્યો હતો ..! જ્યારે હું આ ફોટો જોતી ત્યારે તું મને હાજરાહજૂર જણાતો- મારી સાથે વાતો કરતો..! આ એક જ આધાર હતો મારા જીવનનો ..! તેં તે પણ છીનવી લીધો ,હવે કોઈ પણ સમસ્યા હશે તો હું ક્યાં જઈશ ? કોને પૂછીશ ? કોણ મારી સાથે વાતો કરશે ?

    સુમી જાણે કે ધ્રૂસ્કેધ્રૂસ્કે રડી પડી.

    ​હજુ તો બે મહિના પહેલાં જ .. તેનાં સાસુ-સસરા અને મમ્મી-પપ્પા તેના માટે એક સબંધની વાત લઈને આવ્યાં હતાં . છોકરો ભણેલો ગણેલો હતો,કોઈક કંપનીમાં મેનેજર હતો ,દેખાવડો અને હેન્ડસમ પણ હતો . સુમીના કુંવારા ઘડા પણ ઉતર્યા નથી અને તે અક્ષત યૌવના છે એવું જાણ્યા પછી તે તેની સાથે લગ્ન કરવા તૈયાર થયો હતો ત્યારે … સુમી હરવિંદરના ફોટા પાસે આવી કેટલું બધું રડી હતી, તે હજુ પણ હરવિંદરને ભૂલી શકી નહોતી , તો પછી પુનર્લગ્ન કરવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી ..! તેણે આ ફોટા સાથે જ વાતચીત કરી હતી અને નક્કી કર્યું હતું કે તે આજે તો નહીં પણ ક્યારેય ફરીથી લગ્ન નહીં કરે ! માત્ર હરવિંદરના ફોટાના સહારે , તેની યાદોના સહારે બાકીનું જીવન ખેંચી નાખશે , એજ ફોટો તૂટી ગયો ,જાણે કે તેનાં સપનાં ચકનાચૂર થઈ ગયાં,હવે શું ?

    ​તેનો અને હરવિંદરનો સંસાર ક્યાં લાંબો ચાલ્યો હતો ?લગ્ન પહેલાં તેમની મુલાકાત પણ નહોતી થઈ. માત્ર તેણે હરવિંદરને ફોટામાં જોયો હતો અને તેના પપ્પાએ તેને વિડીયો કોલ કરી આપ્યો હતો તેના ઉપર તેને જોયો હતો અને થોડીઘણી વાતો પણ કરી હતી . તે મિલટરીમાં હતો એટલે તેને રજા મળતી નહોતી , પણ વિડીયો કોલમાં તેણે વચન આપ્યું હતું કે તે લગ્ન વખતે લાંબી રજા લઈને જ આવશે , અને એ લોકો લગ્ન પછી ગોવા ફરવા અને હનીમુન ઉજવવા જશે , આથી તેને એ દિવસોનો ઇંતજાર હતો પણ ..!

    કુદરતને કદાચ એ મંજૂર નહોતું. તેનાં લગ્ન થઈ ગયાં .જાન પાછી આવી, હજુ તો તેમના છેડાછેડી છોડવાના બાકી હતા, તેમનાં હાથનાં મીંઢણ પણ છુટ્યાં નહોતાં , હરવિંદરના ઘેર તેને પોંખવાની વિધિ ચાલતી હતી અને તેના હેડક્વાર્ટર ઉપરથી ઇમરજન્સી લાઇટિંગ કોલ આવ્યો…પુલવામામાં આતંકવાદી હુમલો થયો છે અને તેણે તાત્કાલિક ફરજ ઉપર હાજર થઈ જવું ..!

    હજુ તો સુહાગરાત પણ મનાવી નહોતી અને તેને જવાનું આવ્યું . સુમીનાં સાસુ-સસરાએ તો કહી દીધું કે –આપણે ફરજ ઉપર નથી જવું , તું રીઝાઇન કરી દે , પણ સુમી જ વચ્ચે પડી ..દેશ પહેલો, રાષ્ટ્રપ્રેમ પહેલો, એ પહેલી ફરજ … એ પાછો આવશે , નહીં આવે તો આ તો ભવોભવનાં બંધન છે –એમ કાંઈ થોડાં તૂટવાનાં છે ? તેણે હરવિંદરને સરહદ ઉપર જવાની અને દેશના રક્ષણ માટે પોતાની ફરજ અદા કરવાની છૂટ આપી . મીંઢળબાંધ્યા હાથે અને રડતી આંખોએ તેણે પોતાના હરવિંદરને વિદાય આપી ..!

    એ પ્રસંગ યાદ આવતાં સુમી છૂટા મોઢે ફરીથી રડી પડી .એ ગયો તે ગયો … પાછો મીંઢળ છોડાવવા પણ ના આવ્યો…આવ્યો માત્ર તેનો નિર્જીવ દેહ –ત્રિરંગામાં લપેટાયેલો ..! આજની ઘડી અને કાલનો દિવસ .તે દિવસથી સુમી જીવતી હતી –એક લાશની જેમ ..! માત્ર અને માત્ર તેના આ ફોટાના સહારે ..તેને આ ફોટો ખૂબ જ ગમતો હતો ..તેમાંનો હરવિંદર જાણે કે જીવતો જાગતો હતો –તેની સાથે વાતો કરતો હતો , તેની સમસ્યાઓનું સમાધાન કરતો હતો .સુમીને સમજાતું નહોતું કે તેણે હવે શું કરવું ?

    –તું આટલો નિર્દયી હોઈશ એની મને ખબર નહોતી મારા હરૂ ! તેં મારો આ છેવટનો આધાર પણ છીનવી લીધો “

    સુમી બૂમ પાડીને હરવિંદરના કણ કણ થઈ ગયેલા ફોટાને પૂછતી હતી.

    –મને કહે તો ખરો કે હવે મારે કોના સહારે જીવવું ?તું તો પાછો આવવાનો નથી ..!

    સુમી જાણે કે ગાંડાની માફક જ બૂમો પાડતી હતી..

    પણ … તો એ શું કહે ખબર છે ?

    કહે ‘ ઉઉલાલા ‘ “ તું શું કામ ચિંતા કરે છે ?ફોટો તૂટી ગયો’તો શું થઈ ગયું ? હું તો તારા દિલમાં હજુ પણ હયાત છું , તારા દિલમાં રહું છું અને જીવું છું ,તારે આ નિર્જીવ ફોટાની શી જરૂર છે ! ‘

    કોણ બોલ્યું … સુમીએ ચારે બાજુ નજર કરી પણ કોઈ દેખાયું નહીં .અવાજ તો હરવિંદરનો જ હતો.. તેણે કણ કણ થઈ ગયેલા ફોટાની કરચો તરફ નજર કરી ,તો તેનો હરૂ જાણે કે હજુ પણ હસતો હતો ..!