-
ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ – ભૂપેન ખખ્ખરની શૈલી પર ચિત્રકારોનો પ્રભાવ
બીરેન કોઠારી
ભૂપેન ખખ્ખરની ચિત્રશૈલી પર બે ચિત્રકારોનો મુખ્ય પ્રભાવ હોવાની વાત જાણીતી છે. એમાંના એક તે બ્રિટીશ ચિત્રકાર ડેવિડ હૉકની/David Hockney અને બીજા હતા ફ્રેન્ચ ચિત્રકાર હેન્રી રુસો/Henry Rousseau. આ બન્ને ચિત્રકારોનો સમયગાળો અલગ અલગ છે. હૉકની વીસમી સદીમાં થઈ ગયા, અને લગભગ ભૂપેનના સમકાલીન કહી શકાય. રુસો ઓગણીસમી સદીમાં, ઉત્તર પ્રભાવવાદ/Post impresionismના ગાળામાં થઈ ગયા.
ભૂપેન આ બન્નેની શૈલીથી પ્રભાવિત થયા હશે, પણ તેમણે કોઈની નકલ કરવાને બદલે પોતાની આગવી શૈલી નીપજાવી. હૉકનીએ પોપ આર્ટનો પ્રકાર અજમાવેલો, અને ભડકીલા રંગોનો પોતાનાં ચિત્રોમાં તેમણે ઉપયોગ કર્યો. ભૂપેનનાં ચિત્રોમાં જોવા મળતા ભડકીલા, પણ ભારતીય શૈલીના રંગો કદાચ હૉકનીમાંથી લેવાયેલી પ્રેરણા હોઈ શકે.

ડેવિડ હૉકનીએ ચીતરેલો લેન્ડસ્કેપ રુસોની શૈલી આદિમવાદ/Primitivism કહેવાય છે. આ પ્રકારના ચિત્રોમાં એક કેળવાયેલો કલાકાર જે પૂર્ણતાથી આકૃતિઓ ચીતરે તેનો અભાવ હોય છે. કંઈક અંશે અણઘડપણું આ શૈલીની ઓળખ કહી શકાય. ભૂપેનનાં ચિત્રોમાં આ શૈલી ઘણી વાર જોવા મળે છે.

ડેવિડ હૉકનીએ દોરેલું એક ચિત્ર 
Jungles in Paris by Henry Rousseau 
Henri Rousseau’s Dream અલબત્ત, ભૂપેનની મૌલિકતા તેમના ચિત્રોમાં જોવા મળતી ભારતીયતામાં હતી, જેમાં ભારત બહારના લોકોને વિશેષ રસ પડ્યો. વિકસવા મથતું શહેર, તેમાં હરતાફરતા માણસો, તેમના વ્યવસાય, તેમની જાતીય સમસ્યાઓ, તેમની મુશ્કેલીઓ, તેના થકી ઊભી થતી રમૂજી પરિસ્થિતો ભૂપેનનાં ચિત્રોમાં તેમના તીવ્ર નિરીક્ષણ થકી ઝળકવા માંડી.
અહીં હૉકની અને રુસોની શૈલી સાથે ભૂપેનની શૈલીના સામ્યનો અને તફાવતનો અંદાજ આવી શકે એટલા માટે બન્ને કલાકારોએ ચીતરેલાં બબ્બે ચિત્રો અને એકાદ ચિત્ર ભૂપેનનું મૂક્યું છે. એ જોઈને ખ્યાલ આવશે કે ભૂપેન કઈ રીતે મૌલિક હતા.

ભૂપેન ખખ્ખરે દોરેલું ચિત્ર
(તસવીરો નેટ પરથી કેવળ ચિત્રસંદર્ભ પૂરતી)
[ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
સંસ્પર્શ-૨૫
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
ધ્રુવદાદાએ તત્વમસિ નવલકથામાં માનવનાં માનવ સાથે, કુદરત સાથે, લોકમાતા નર્મદા જેવી નદી સાથે અને સમગ્ર સંસ્કૃતિ સાથેનાં અનોખા સંબંધોની વાત કરી છે. વાત આમ તો નર્મદા નદીની છે ,પરતું નદીની સાથે સાથે તેની આસપાસ વસતાં લોકોનાં જીવનની, સજીવ સૃષ્ટિની ,વનનાં સાગનાં વૃક્ષોની ,નર્મદાનાં પરિક્રમાવાસીઓની વાત પણ સંકળાયેલી છે. નદીને ભારતીય સંસ્કૃતિમાં માતાનો દરજ્જો કેમ આપવામાં આવ્યો છે? આપણી ગંગા, યમુના, નર્મદાને પગે લાગી તેનાં પાણીને ચરણામૃત કેમ કહીએ છીએ? કારણ ,આ નદીઓ માનવજીવનને કે બહોળા અર્થમાં તમામ પ્રકારના જીવનને ટકાવી રાખનારી,વિકસાવનારી શક્તિ જ નહીં તે એક સંસ્કૃતિના પરિવહનનું, પરિપક્વતાનું અને તેની સતત વધતી વિસ્તરતી જીવનગાથાનું અમરગાન છે.
નર્મદા કિનારાવાસીઓ માટે તે જીવનદાયિની છે. નવલકથાની શરૂઆતથી અંત સુધી સાંકળતી કડી સ્વરૂપે લોકમાતા નર્મદા અને તેની આસપાસનાં વિસ્તારોનું મનોહર વર્ણન દાદાએ કર્યું છે. તેમજ પરિક્રમાવાસીઓ સાવ અજાણ્યા હોય તે છતાં તેમને સાહજિકતાથી મદદરૂપ થતાં લોકોનાં સંવેદનાસભર સંવાદો દ્વારા દાદાએ નર્મદાતટવાસીઓનો પરિચય કરાવતાં સમગ્ર ભારતીય સંસ્કૃતિનો હૃદયંગમ પ્રભાવ ઊભો કર્યો છે.
બિત્તુબંગાનાં ભાઈ બંગાને ,જે વાઘણ ખાઈ ગઈ હતી, તે વાઘણનું મોં ગલસંટામાં ફસાઈ ગયું અને બિત્તુ તેને કુહાડી લઈ મારી નાખવા ગયો ,પરતું જ્યાં તેણે તેનાં નાનાં બચ્ચાંને જોયાં અને પોતે મા વગર ઉછર્યો હતો અને તે વેદના યાદ આવતાં એને વાઘણને છોડી દીધી. પોતે જીવેલી મા વગરની જિંદગી એને વાઘનાં બચ્ચાંઓને આપવી નહોતી.આ પ્રસંગ સાથે જ સાંકળેલ મહાભારતનો પ્રસંગ- દ્રૌપદીનાં પાંચપુત્રોને અશ્વત્થામાએ ઊંઘમાં સૂતા જ મારી નાંખ્યા છતાં જ્યારે અશ્વત્થામાને હણવાની દ્રૌપદી ના કહે છે અને કહે છે પુત્રહીનતાનું દુ:ખ શું હોય છે ?તે હું જાણું છું, કૃપીને એ દુ:ખ કદી ન મળો.આમ નવલકથાનાં આદિવાસી અભણ લોકો હોવા છતાં અને જેમણે શાસ્ત્રો ક્યારેય વાંચ્યાં નથી તેમનાં સંસ્કારોની ઉચ્ચતા દાદાએ કુશળતાપૂર્વક આલેખી છે અને તેની સાથે મહાભારતનાં પાત્રોની વાતની ગુંથણી સરસ રીતે રજૂ કરી છે.આમ નાયક આદિવાસી લોકોની કેવી કેવી સચ્ચાઈ અને પ્રામાણિકતાથી અભિભૂત થાય છે તેનાં ખૂબ સંવેદનશીલ સંવાદો દાદાએ સુપેરે પાત્રો દ્વારા રજૂ કર્યા છે.
નર્મદા નદી ભારતને બે ભાગમાં વહેંચેં છે તેવી માન્યતા સામે દાદા માને છે કે નર્મદા ઉત્તરાખંડ અને દક્ષિણાખંડને જોડીને એક સાથે રાખે છે. એક નદી સાથે વિકસેલી, નદી કિનારે પાંગરેલી અને તેના જ પુણ્ય પ્રતાપે હજીયે વિકસતી આપણી સંસ્કૃતિમાં તેનું મહત્વ અનન્ય છે એમ સમજાવતાં દાદા લખે છે, “અમરકંટકથી નીકળીને સમુદ્રને મળે છે ત્યાં સુધીમાં આ નદી કેટકેટલી શ્રદ્ધા ,કેટકેટલી સાંત્વના, કેટકેટલા પ્રેમ,આદર અને પુણ્યો સમાવતી દંતકથાઓનું સર્જન કરે છે. એક ઝરણ સ્વરૂપથી સાગરને મળવાના સમગ્ર પ્રવાસમાં તે પોતે બદલાય છે અને તેના સંસર્ગમાં આવનારનાં જીવન બદલી નાંખે છે.”
પાણીનાં એક પ્રવાહને એટલે જ આપણી સંસ્કૃતિમાં લોકમાતાનું બિરુદ અપાયું હશે!
નવલકથાની પરિપક્વ ક્ષણો સમયે નાયકનું માનસ પરિવર્તન ખૂબ સહજ જણાય છે.એમાં કોઈ એક પ્રસંગ કે ઘટનાનો ભાગ નથી,પરતું સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન તેણે અનુભવેલું એ નિતાંત આહ્લાદક સૌંદર્ય છે, જે ફક્ત માનવજીવનનું નથી,વનરાજીનું,પ્રાણીઓનું,માન્યતાઓ અને તેનાં અર્થઘટનનું અને સૌથી વધુ લોકમાતા નર્મદાનું છે.દરેક પરિક્રમાવાસીને નર્મદા દર્શન આપે જ છે એવી માન્યતાની તેમની આગવી પુષ્ટિ કોઈ ચમત્કાર નહીં ,સાક્ષાત્કાર બની રહે છે.
નવલકથાનાં અંતમાં નદીની અર્ધપરિક્રમાએ નીકળેલો નાયક કાબાઓ દ્વારા લુંટાઈ છે ત્યારે તેમના મને કરેલું અર્થઘટન સચોટ અને અર્થગર્ભિત છે. તેઓ કહે છે કે કાબાઓની માન્યતા છે કે પરિક્રમાવાસી સાધુઓને લૂંટવાની ,અરે ! તેમના વસ્ત્રો સુદ્ધાં લઈ લેવાની આજ્ઞા તેમને ‘મા’ નર્મદા આપે છે. કારણ “ભૂખ્યો તરસ્યો, જીવનનિર્વાહ માટે હવાતિયાં મારતો વસ્ત્રવિહીન પ્રવાસી ઝાડી પાર કરીને નગરમાં પહોંચશે ત્યારે તેના અહમના ચૂરેચૂરા થઈ ગયા હશે.સંન્યાસ શું છે? ત્યાગ શું છે? જીવન શું છે?આવા તમામ પ્રશ્નોનો જવાબ તેને સ્વયં મળી ગયા હશે.આવું સચોટ અને સત્યાર્થ રજૂ કરતી ફિલસુફી જ નવલકથાને બીજા કરતાં આગવી ઓળખ આપે છે. નવલકથાનાં બધાં જ પાત્રો શરૂઆતથી અંત સુધી આપણને લાગણીની અલગ સફરે લઈ જાય છે. આપણે પણ પાત્રોની સાથે નર્મદાની અને તેની આસપાસનાં જંગલોની ,આદિવાસીની ઝૂંપડીઓની સફરનો અનુભવ કરીએ છીએ. ગુણદોષથી ભરેલા તે આદિવાસીઓ શહેરનાં માણસથી જુદા પડે છે કારણ તે કુદરત સાથે જોડાએલ છે. કુદરત સાથેનો તેમનો સંબંધ સાવ નોખો છે , કારણ કુદરત તેમના અસ્તિત્વનો એક ભાગ છે.
આ સાથે ઘ્રુવદાદાની ચાર પંક્તિઓ-
“ક્યાં કહું છું હું અને તું એક હોવા જોઈએ,
માત્ર કહું છું કે પરસ્પર નેક હોવા જોઈએ.એમ ઠાલો શબ્દ કંઈ તાકાતવર હોતો નથી,
શબ્દના અવતાર અંદર છેક હોવા જોઈએ.સાવ પોતાને વિસારો એમ કહેવું દંભ છે,
પણ બધાંની દૃષ્ટિમાં પ્રત્યેક હોવા જોઈએ.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ફાઉન્ડ આર્ટ – નકામી વસ્તુઓમાંથી કળાસર્જન
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendra Shah Kalasampoot – Creation from waste ( Found Art )
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
સંસ્કૃત – શ્લોક/સુભાષિતો : સત્યનો જ જય થાય છે
દેવિકા ધ્રુવ
सत्यमेव जयते नानृतम् सत्येन पन्था विततो देवयानः ।
येनाक्रमन्त्यृषयो ह्याप्तकामाः यत्र तत्सत्यस्य परमं निधानम् ॥– मुन्डकोपनिषत्
સમાસ વિભાજન અને શબ્દશ: ગુજરાતી અર્થ:
सत्यमेव=सत्यम्+एव= સત્ય જ, जयते= વિજય પામે છે. नानृतम्= न+अनृतम्= નહિ કે અસત્ય,
सत्येन = સત્ય થકી, पन्था= માર્ગો, विततो = વિસ્તર્યા છે. देवयानः દેવોના
येनाक्रमन्त्यृषयो= येन + आक्रमन्ति + ऋषयः – येन = જેના થકી, आक्रमन्ति = ઉન્નતિ પામે છે. ઊંચાઈએ પહોંચે છે. ऋषयः = ઋષિ મુનિઓ, ह्याप्तकामाः = हि+आप्तकामा = हि = જ (ભારવાચક), आप्तकामा = ઇચ્છા મુજબ મેળવવું यत्र = જે तत्सत्यस्य= तत+सत्यस्य તે સત્યનું परमं=પરમ, સૌથી ઊંચું , निधानम् = નિવાસ,રહેઠાણ,ધામ
શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
સત્યનો જ જય થાય છે; અસત્યનો નહિ. સત્ય થકી જ દેવોના માર્ગો વિસ્તર્યા છે. તેના થકી જ ૠષિઓ ઊંચાઈએ પહોંચી શકે છે અને તેના જ થકી ઇચ્છા મુજબનું પરમ ધામ પામી શકે છે.
વિચારવિસ્તારઃ
સત્ય પર ભાર મૂકતો આ શ્લોક મુંડક ઉપનિષદનો છે અને ખૂબ જાણીતો છે. કારણ કે, ભારતની સ્વતંત્રતા પછી, सत्यमेव जयते ભારતના રાષ્ટ્રીય સૂત્ર તરીકે અપનાવવામાં આવ્યું હતું. આ શબ્દો તમામ ભારતીય ચલણની એક બાજુ પર અંકિત થયેલ છે. સત્ય એક અમોઘ શસ્ત્ર છે જેના થકી ૠષિઓ પરમ ધામને આંબી શકે છે. મહાત્મા ગાંધીજીએ ભારત દેશને સત્ય થકી જ ગુલામીમાંથી મુકત કર્યો હતો. તેના થકી જ તેઓ ‘મહાત્મા’નું બિરુદ પામી શક્યા.
Sanskrit shlok in English script :
satyameva jayate naanrutaṃ satyena pantha vitato devayaanaḥ
yenaakramantyṛushayo hiaaptakamaa yatra tatsatyasya paramaṃ nidhaanamWord to word meaning in English:
Satyam eva = Truth only, Jayate= conquers, wins. Na+ anṛutam – not falsehood. satyena – by Truth, panthaaḥ – roads, journey, vitato = was stretched out. devayaanaḥ= Path leading to Gods,
yenakramantyṛushayo= yen+akramanti+rushayo = yena = by which , akramanti = ascend , ṛushayao = the sages, hi+apta+kama= hee=only (emphasis), aaptakama – winning their desire , yatra = where, tatsatyasya=tat+satyasya.- tat= that, satyasya = Truth, paramam = Supreme, nidhanam= abode
Translation in English:
Truth alone triumphs, not falsehood. By truth, the divine paths are unfolded, through which the sages having fulfilled all their desires, reach the supreme abode of the (eternal) truth.
(‘Satyameva Jayate’ is the national motto of India.)
Devika Dhruva.
ddhruva1948@yahoo.com
http://devikadhruva.wordpress.com -
પધારો ! અમારો વિનાશ નોંતરવા આપ સૌનું સ્વાગત છે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
એ હકીકત હવે અજાણી રહી નથી કે એ.આઈ. (આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ/કૃત્રિમ બુદ્ધિમતા) નો ઊપયોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, અને તેના માટેનાં ડેટા સેન્ટર દ્વારા પ્રચંડ ગરમીનું ઉત્સર્જન થાય છે. આને કારણે તેના માટે પુષ્કળ પાણીની જરૂરિયાત રહે છે. તેનું આ પાસું એવું છે કે તેને ધ્યાનમાં રાખવું જ પડે. ત્રણેક મહિના અગાઉ આ કટારમાં તેના વિશે વાત કરવામાં આવી હતી. આ એક માત્ર કારણસર અમેરિકા, યુરોપ, લેટિન અમેરિકા અને અગ્નિ એશિયાના દેશોમાં આવાં ડેટા સેન્ટરો ઊભાં કરવાનો વિરોધ થઈ રહ્યો છે. તેમના દ્વારા ઉત્સર્જિત કરાતી ગરમી ઊપરાંત તેના માટે જરૂરી વીજપુરવઠાની પ્રચંડ માત્રા અને વિશાળ જમીનની જરૂરિયાત પણ આ વિરોધ પાછળનાં પરિબળો ખરાં.
બીજી તરફ ફેબ્રુઆરી, ૨૦૨૬ માં દિલ્હી ખાતે ભરાયેલા એ.આઈ.ના સંમેલનમાં, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં એ.આઈ.સેન્ટર સ્થાપિત કરવા ઈચ્છનાર સૌને આવકાર્યા અને ભારતને એ.આઈ.સેન્ટરનું વૈશ્વિક કેન્દ્ર (હબ) બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. આ કેન્દ્રો રોજગારજનક બની રહેશે એમ પણ કહેવાયું. આવી ઘોષણા વડાપ્રધાને કશું જોયાજાણ્યા વિના ન કરી હોય! વિશ્વના અન્ય દેશોમાં એ.આઈ.સેન્ટરોનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે, એ બાબત આપણા જેવા સામાન્ય નાગરિકોને ખબર હોય તો માહિતી માટેનું વિશાળ માળખું ધરાવતા વડાપ્રધાન કાર્યાલયને એની જાણ ન હોય એ શક્ય નથી.
આ આખા મામલે મૂળ મુદ્દો એ છે કે ભારત જળતંગી ધરાવતો દેશ છે. વીજતંગી પણ અહીં કાયમી સ્થિતિ હોય છે. અધૂરામાં પૂરું જળવાયુ પરિવર્તનને કારણે ગરમીનો પ્રકોપ વરસોવરસ વધી રહ્યો છે, જે જળ અને વીજળી બન્નેની માંગમાં પ્રચંડ વધારો કરે છે.
આ કેન્દ્રો થકી પેદા થતા રોજગારની વાત કરીએ કે જે મુદ્દાને આગળ કરવામાં આવ્યો છે, અને મહત્ત્વનો ગણાવાયો છે. ડેટા સેન્ટરને જુદી જાતનાં ગોદામ કહી શકાય. સેંકડો કે હજારો ચોરસ ફીટ વિસ્તારમાં તે પથરાયેલાં હોય છે. એક વાર તે કાર્યરત થઈ જાય એ પછી મુઠ્ઠીભર ટેક્નિશ્યન અને ઈજનેરો થકી તેનું સંચાલન કરવામાં આવે છે. અન્ય ઉદ્યોગોની જેમ આ સ્થાને કોઈ ટેક્નોલોજીને વિકસાવવામાં આવતી નથી કે જેમાં લોકોને તાલીમ આપવામાં આવે. વિશાળ વિસ્તારમાં પથરાયેલાં આ કેન્દ્રોમાં રાક્ષસી કદનાં એ.આઈ.મોડેલનું સંચાલન થાય છે, જે સુપર કમ્પ્યુટરની જેમ ડેટા એટલે કે વિગતોને સંઘરે છે. આપણા દેશના પાટનગરમાં સુધ્ધાં જનસામાન્યને પીવાના પાણીની અને વીજળીની તંગી છે, અને પૂરતો પુરવઠો મળે એવી વ્યવસ્થા દેશની આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ ગોઠવી શકાઈ નથી, ત્યાં બીજા નગરો, શહેરો કે રાજ્યોની વાત જ ક્યાં કરવી! આ સંજોગોમાં એ.આઈ.સેન્ટરો દ્વારા ઓહિયાં થઈ જતો જંગી માત્રામાં પાણી અને વીજપુરવઠો કોના ભાગેથી છીનવાઈને ત્યાં પહોંચશે એની કલ્પના કરવાની જરૂર ખરી?

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી જમીનના મુદ્દાને પણ અવગણવા જેવો હરગીઝ નથી. ગૂગલ, અમેઝોન અને મેટા જેવી રાક્ષસી કદની કંપનીઓએ, ખાસ કરીને આંધ્ર પ્રદેશમાં જમીન મેળવવા માટે અદાણી જૂથ અને રિલાયન્સ જૂથ સાથે હાથ મિલાવ્યા છે. આમાંની ઘણી બધી જમીન પર્યાવરણની રીતે સંવેદનશીલ પ્રદેશોમાં છે, પણ બીજી તરફ સરકાર લીલીછમ વાડીઓ અને ખેતીની જમીન પર કબજો વધારી રહી છે. આમ કરવામાં તેમના માર્ગમાં આવતી ઝૂંપડપટ્ટીઓનો નિર્દયતાપૂર્વક સફાયો કરાઈ રહ્યો છે. કેમ કે, કરોડો ડોલરનું રોકાણ આ રીતે ઠલવાઈ રહ્યું છે. મહિલા પત્રકાર લતા જિષ્ણુએ ‘ડાઉન ટુ અર્થ’ સામયિકમાં આ હકીકતને ઊજાગર કરી છે. અહેવાલમાં જણાવાયા અનુસાર આ પૈકીનો સૌથી મોટો પ્રકલ્પ દસ હજાર કરોડ ડોલરનો છે, જે અદાણી જૂથનો છે. આ પ્રકલ્પ અંતર્ગત ૨૦૩૫ સુધીમાં પાંચ ગીગાવૉટની ક્ષમતા ધરાવતાં એ.આઈ.ડેટા સેન્ટર બનાવવાની યોજના છે. એમાંથી ગૂગલ કંપનીના સહયોગમાં સ્થપાનારું વિશાખાપટણમ ખાતેનું બે ગીગાવૉટની ક્ષમતા ધરાવતું એ.આઈ.ડેટા સેન્ટર સૌથી વધુ ક્ષમતા ધરાવતું સેન્ટર હશે. તેના માટે ગૂગલને ૪૮૦ એકર જેટલી વિશાળ જમીન દરિયાકાંઠાના વિસ્તારમાં ફાળવવામાં આવી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ વિસ્તાર પર્યાવરણની રીતે અતિ સંવેદનશીલ છે, અને પહેલેથી જ પર્યાવરણને લગતા ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે.
એ યાદ રાખવું રહ્યું કે અનેક દેશોમાં થઈ રહેલો એ.આઈ.સેન્ટરો સામેનો વિરોધ એ.આઈ.ની સામાજિક અસરો અંગેનો નહીં, પણ પાણી અને વીજળી જેવી પાયાની જરૂરિયાતો અંગેનો છે. વિવિધ ભૌગોલિક, સાંસ્કૃતિક પરિસ્થિતિઓ તેમજ વિભિન્ન રાજકીય વિચારધારા ધરાવતા દેશોમાં થઈ રહેલો પ્રચંડ વિરોધ એ બાબતનું પ્રમાણ છે કે સૌ આ બાબતે સમાન રીતે ચિંતિત છે.
વડાપ્રધાને એ.આઈ.સેન્ટરોને આવકાર્યાં છે, તો રાજ્ય સરકારો તેમને માટે પાણી અને વીજળીના વપરાશ પર સબસિડી આપી રહી છે. સામાન્ય નાગરિકો વીજળીના કમરતોડ દર ચૂકવે અને આવી કંપનીઓને સબસિડી!
પર્યાવરણ ક્ષેત્રના કર્મશીલો તેમજ વિવિધ નાગરિક સંગઠનો ઘણા સમયથી આનો વિરોધ કરી રહ્યાં છે, પણ એની ખાસ અસર નથી. પરિસ્થિતિ એવી છે કે વાજબી કારણોસર વિરોધ કરનાર રાષ્ટ્રદ્રોહીમાં ખપી જાય છે. એ.આઈ.સેન્ટરના આવા પ્રચંડ પ્રકલ્પોથી ભવિષ્યમાં સંબંધિત વિસ્તારની પર્યાવરણીય સ્થિતિ કઈ હદે કથળશે એની કલ્પના જ કરવી રહી.
સરકારની તરફેણમાં કામ કરતા સત્તાતંત્ર પાસે કોઈ ન્યાયી પગલાંની અપેક્ષા રાખવી વ્યર્થ છે. એમાંય ખુદ વડાપ્રધાને નોંતરું આપીને લાલ જાજમ બિછાવડાવી હોય પછી કયા અધિકારીની મગદૂર છે કે સામો હરફ કાઢે?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨-૭– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
સ્મૃતિસંપદા : સહકારની કેડીએ : મનસુખ વાઘેલા [૬ ]
આ પહેલાં આપણે શ્રી મનસુખ વાઘેલાની બાલ્યકાળથી શાળા જીવન સુધીની યાત્રાની કેડીની સફર કરી.હવે આગળ…….કોલેજના મિત્રો
કોલેજમાં મારા ઘણા મિત્રો થયાં, એમાં રજનીભાઈએ મને ટ્યુશન કરીને થોડી ઘણી આવક કરવા પ્રેરિત કર્યો, તેમણે આજીવન મારી સાથે મિત્રતા નિભાવી. પ્રદીપ શાહ પહેલા સાયન્સ કોલેજમાં અને પછી એન્જિનિયરિંગ કોલેજમાં પણ મારી સાથે હતો. અને અત્યારે હ્યુસ્ટન, અમેરિકામાં પણ અમે ભેગા થઈ ગયાં. આજે પણ અમે બંને મિત્રો ભેગા થઈને અમારા તે સંસ્મરણો વાગોળીએ છીએ. એવી રીતે જ બીજા મિત્રોમાં મનહર રાઠોડ સાથે પણ ઘનિષ્ઠ સંબંધો હતાં. અમે બંને એકબીજાના ઘરે અવાર-નવાર આવતા જતાં.
કોલેજમાં મારી નજીક એક છોકરી બેસતી હતી, તેનો રોલ નંબર ૧૧૦ હતો, એટલે અમે મિત્રોએ એનું ઉપનામ ૧૧૦ રાખ્યું હતું. મને મનોમન એ ગમવા મંડી હતી. મનમાં ને મનમાં રમાયેલી અને આગળ ન વધેલી એ એક તરફી પ્રેમની અને મારા એકાકીપણાની વ્યથા મારા મનમાં કવિતા રૂપે પ્રગટ થઈ. ‘ક્ષોભ’ નામની એ મારી પ્રથમ કવિતા હતી.
ક્ષોભ
ક્યારેક મન થઈ શંકિત,
પૂછે પ્રશ્ન પોતાને,
શું નથી મંજૂર વિધાતાને,
તારું ને મારું મિલન?ત્રણ વખત મળી તું,
જોઈ મેં તને, પરંતુ,
ન ચડ્યો હું તવ દ્રષ્ટિમાં,
ને હું ય કેમ બોલાવું તને,
જ્યારે હોય કો તુજ સાથમાં?અવ જ્યારે મળશે તું,
કહેવા આતુર હૈયું આ,
વિચારી વિચારી ફરી
મિલન સમયે,
હોઠ બંધ થઈ જતાં
શાને?‘ક્ષોભ’ માં મારી અવસ્થાનું વર્ણન કરતી છેલ્લી પંક્તિઓ “વિચારી વિચારી મિલન સમયે હોઠ બંધ થઈ જતાં શાને?” મોટાભાગના યુવાનોની વ્યથા અને અવસ્થાનો પ્રશ્ન છે કે પ્રેમનો એકરાર કરવો છે, શું કહેવું, શું ના કહેવું બધું જ વિચારી રાખ્યું છે, પણ પ્રેમિકા પ્રત્યક્ષ આવે ત્યારે મોંઢામાંથી એક શબ્દ નીકળે નહીં, સાવ મૂંગા થઈ જવાય, અને પછી એ પળ ચાલી જાય, એટલે હતાશા અને નિરાશા છવાઈ જાય. એક બે મહિના પછી પાછી બીજી કવિતા “અનિલ” લખી, તેની પણ છેલ્લી પંક્તિઓ “કળી કરમાય, કૂંપળ સુકાય, ડાળી બટકે, પાન ખરે, વૃક્ષ સુકાય, વિના વસંતે, મુખ કરમાય, હૈયું સુકાય, ભાવના તૂટે, આંસુ ખરે, મન દુભાય, જીવનસાથી વીના.” સગાં-વહાલાં અને આટ-આટલાં મિત્રો હોવા છતાં મારી એકાકીપણાની એ અવસ્થા હતી. પછી તો એ મારી પ્રેમની વ્યથા અને એકાકીપણાથી ચાલુ થયેલી કવિતાઓ રૂપી સફરમાં સમયની સાથે-સાથે, જીવનના તડકા-છાંયડાંમાં, સંવેદનાઓના વિરાટ સમુદ્રમાં હાલકડોલક થતી નાની હોડી જેવી મારા હ્રદયની ઘણી બધી ભાવનાઓને પાનાંઓ ઉપર ઉતારતો રહ્યો.
ઇન્ટર સાયન્સમાં સારા માર્કે પાસ થયો, અને મુંબઈની જ વી.જે.ટી.આઈ. (વિકટોરિયા જ્યુબિલી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ, માટુંગા) કોલેજમાં મિકેનિકલ એંજિનિયરિંગમા એડમિશન લીધું. અત્યાર સુધી માત્ર ચાર વિષયમાં સારા માર્ક લાવવા માટે ધ્યાન આપવું પડતું હતું, પણ એંજિનિયરિંગના પહેલા વર્ષમાં જ ૯ વિષયો હતાં એટલે પહેલા વર્ષની પરીક્ષામાં ૯ માથી ૬ વિષયોમાં પાસ થયો અને ૩માં નાપાસ થયો. આખું વર્ષ પાછું કરવું પડ્યું. મહેનત કરીને ઓક્ટોબરમાં બધા વિષયોની ફરી પરીક્ષા આપી. આખી યુનિવર્સિટિમાં ૩૦૦માંથી બીજે નંબરે પાસ થયો. બીજું વર્ષ જૂનમાં ચાલુ થવાનું હતું માટે છ મહિનાનો અવકાશ હતો. મારા એક મિત્રએ મને ફિનલે મિલ્સમાં સ્ટેટિસ્ટિક્સ વિભાગમાં નોકરી અપાવી. મહિને રૂપિયા ૨૪૦નો પગાર હતો. પહેલા મહિનાનો પગાર મેં મારા કાકાના હાથમાં મૂક્યો તો એ ખૂબ ખુશ થઈ ગયાં હતાં. બરાબર એ સમયે મારી શાળાનો મિત્ર સુરેશ દાણી ફરી મારા સંપર્કમાં આવ્યો. મારી જેમ તે પણ પહેલા વર્ષમાં નાપાસ થયો હતો. મોટાભાગના મારા શાળાના મિત્રો મારી સાથે મારી કોલેજમાં જ હતાં. સુરેશ દાણી અને હું બંને નાપાસ થયાં હતાં એટલે સાથે ભણતા. પણ સુરેશને મારું મિલમાં નોકરી કરવું નહોતું ગમતું. તેણે મને ઘણો સમજાવ્યો કે આપણે બંને ટ્યુશન કરીએ, એક-બે ટ્યૂશનમાં જ બસોથી અઢીસો રૂપિયા ક્માઈ લેશું, મિલમાં કામ કરવાની જરૂર નથી. અને થયું પણ એમજ, એણે મને ટ્યૂશનો અપાવ્યા અને હું મહિને ૭૦૦ થી ૮૦૦ રૂપિયા કમાતો થઈ ગયો.
હું મોટાભાગે સુરેશ દાણીને ઘરે જ સમય વિતાવતો. એક દિવસ એના પિતા પ્રાણજીવન કાકાએ મને કહ્યું, “મારે તારી જરૂર છે, આ તારો મિત્ર અમારા જ માળામાં રહેતી એક છોકરીના પ્રેમમાં પડ્યો છે અને એને લીધે જ નાપાસ થયો છે, એનું ધ્યાન ભણવામાં ઓછું ને એ છોકરીમાં વધારે રહે છે, તું એને સમજાવ કે ભણવામાં ધ્યાન આપે અને એ છોકરીથી દૂર રહે.” મેં કહ્યું,”ભલે કાકા હું પ્રયત્ન કરીશ.” ત્રણ-ચાર મહિના પછી મેં કાકાને કીધું કે,”મેં ખૂબ કોશિશ કરી પણ એને માટે એ છોકરીને ભૂલવાનું શક્ય નથી, એ બંને એક બીજાને ખૂબ પ્રેમ કરે છે.” તેમનાં મા-બાપે નિર્ણય લીધો અને લગ્ન નક્કી કરીને એમને પરણાવી દીધા. મારો મિત્ર સુરેશ દાણી એની પ્રેમિકા મંજુલા સાથે પરણી ગયો અને ૫૦ વર્ષથી દાંપત્ય જીવનનો આનંદ માણી રહ્યો છે. પરિવારની સહાયતાથી તે પોતાની મહત્વાકાંક્ષા રૂપે સફળ કોચિંગ વર્ગો સ્થાપી શક્યો. તેનું માનવું છે કે ભારતમાં જ કોઈ પણ યુવાન સફળ થઈ શકે છે અને વિદેશ જવાની જરૂર નથી. તેણે પોતાના ત્રણે પુત્રોને એંજિનિયરિંગમા સ્નાતક કર્યા અને વિદેશ મોકલવાને બદલે એના જ વ્યવસાયમાં સ્થાયી કર્યા.
એંજિનિયરિંગ કોલેજમાં ગુજરાતી મંડળ
વી.જે.ટી. આઈ.માં અમે ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કરી. હું પ્રમુખ અને મારો ખાસ મિત્ર પ્રવિણ પાઠક ઉપપ્રમુખ બન્યા. એક રંગસંધ્યાનું આયોજન કર્યું. ભવંસમાં સ્પર્ધામાં નાટક રજૂ કર્યું. નાટકમાં નારી પાત્ર ભજવવા માટે છોકરી ક્યાંથી લાવવી? પ્રવિણ પાઠકે રૂઈયા કોલેજમાં ભણતી નલિની ગોકળગાંધીને તૈયાર કરી. ગણિત, વિજ્ઞાન અને યાંત્રિક કોલેજને અમારા ગુજરાતી મંડળે સાહિત્ય રસિક અને કલાપ્રેમી બનાવી. પ્રમુખ તરીકે એક વસ્તુ શીખવા મળી. તમારી સમિતિમાં જે કાર્યકરો હોય તેમની નિષ્ઠા, સમર્પણ સફળતા લાવે છે.
મિત્રની સ્મૃતિ
૧૩ સપ્ટેંબર ૨૦૧૮ને દિવસે કાકીને ૮૦ વર્ષ પૂરા થતા હતાં. કાકીનું ઋણ તો જન્મોજન્મ ચુકવી શકાય તેમ નથી તે છતાય કાકીને ૮૦ વર્ષ પૂરા થતા હતાં. તે નિમિત્તે એક ભોજન સમારોહનું આયોજન મેં મુંબઈમાં કર્યું. થોડા મિત્રો અને સગા વહાલાને બોલાવ્યા હતાં. તે વખતે મારા એક અંગત મિત્ર મનહર રાઠોડને આમંત્રણ આપવા હું તેના ઘરે ગયો ત્યારે તેણે જે વાત કરી તે ચોંકાવી નાખે તેવી હતી.
૧૯૭૧માં મનહરે અમેરિકા ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન મેળવ્યું. મુંબઈથી અમેરિકા જતા પહેલા મનહર વીરપુર જલારામ બાપાના દર્શને ગયો. વીરપુરની યાત્રાથી પાછા ફરતા તેની બસનો અકસ્માત થયો. બસ ઊંધી પડી ગઈ. મનહરને માથામાં ચોટ લાગી અને તે પોતાની યાદદાસ્ત ગુમાવી બેઠો. મનહર બધા સામે જોયાં કરે પણ કોઈને ઓળખી ના શકે. લગભગ છ મહિનાની સારવાર પછી કુટુંબનાં માણસોને ઓળખતો થયો. મુંબઈ આવી મનહર ફરીથી કક્કો બારાખડી શિખ્યો. દરેક ધોરણનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. તેમાં તેનાં સગા અને મિત્રોએ ખૂબ સહકાર આપ્યો. પછી કોલેજનાં ૨ વર્ષ અને એંજિનિયરિંગના ૪ વર્ષનાં પુસ્તકોનો અભ્યાસ કરી પોતે સિવિલ એંજિનિયરિંગ ગ્રેજ્યુએટ છે એમ સાબિત કરી નોકરી મેળવી. મિત્રોના સહકારથી તેણે મકાન બાંધકામના ધંધામા ઝંપલાવ્યું અને ખૂબ કમાયો.
આ મનહર જ્યારે કાકીના ભોજન સમારોહમાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તેને અમારા કોલેજનાં એ દિવસો યાદ છે જ્યારે તે એક દિવસ મારા ઘરે આવ્યો હતો. મેં તેના માટે ખિચડી શાક બનાવી જમાડ્યો હતો.
મને એમ કે મનહરની સ્મ્રુતિ પુસ્તકોનાં અભ્યાસથી પાછી આવી હતી. પણ ૧૯૬૪માં બનેલ ઘટના કોઈ પુસ્તકમાં નહોતી. હવે મને શ્રદ્ધા અને વિશ્વાસ બેસી ગયાં કે મનહરની સ્મ્રુતિ સંપૂર્ણપણે વાપસ લાવવા.માટે જલારામ બાપાનાં જ આશીર્વાદ છે.
નંદ યશોદા સ્વરૂપ કાકા કાકીઃ
કાકી મારા જીવનમાં હું ૧૨ વર્ષનો હતો ત્યારે આવ્યા. ત્યારે હું ખૂબ નાદાન અને જિદ્દી હતો. કાકા કાકીને મેં ઘણા તંગ કર્યાં. પરંતુ કાકાએ મારા માબાપને વચન આપેલ તે પાળીને મને મોટો કર્યો. અમારા દરજી કુટુંબમાં છોકરો ૧૪ વર્ષનો થાય એટલે તેને ધંધે લગાડી દે. દરજીનો દીકરો, જીવે ત્યાં સુધી સિવે. ભણવું હોય તો ભણો પણ સાથે સાથે દરજીકામ પણ શીખે. અન્ય સગાં વહાલા કાકા પર દબાણ લાવતા હતાં કે આ છોકરાને કામ શીખવો. એકલા ભણતરથી કંઈ વળવાનું નથી. પરંતુ કાકા અડગ રહ્યા. મને ભણાવ્યો, ગણાવ્યો. વર્ષો પછી મને સમજ આવી કે બંને કાકા કાકીએ મારા માટે કેટલો ભોગ અને ત્યાગ આપ્યો. મારી બાના અવસાન પછી મેં કાકીને ભેટી પડીને રડતે મુખે કબૂલ કર્યું કે કાકી, મેં તમને ઓળખવામાં ભૂલ કરી છે. તમે તો મારા યશોદા મા છો. મારી જન્મદાતા મા તો મારા મામાને ત્યાં જતી રહી હતી, પણ મને મોટો કરવાનો, સંસ્કારો આપવાનો અને ઉચ્ચ શિક્ષણ આપવાનો ખરો યશ તો તમને જ અપાય. એ એકરાર પછી કાકી અને મારા સંબંધોમાં સોનામાં સુગંધ પૂર્યા જેવું થયું.
કાકા કાકી અંધેરી જે રૂમમાં રહેતા હતાં તેમાં ૨૦૦૧ થી ૨૦૦૫ સુધીમાં ૪ વખત ૫ થી ૭ ફૂટ જેટલું પાણી ચોમાસા દરમ્યાન ભરાઈ જતું. ૨૦૦૭ માં તેમને માટે એક ફ્લેટ પહેલે માળે લીધો અને પાણીનો પ્રશ્ન ટળી ગયો. ૨૦૧૦માં કાકાના અવસાન પછી કાકી ૬ વર્ષ ત્યાં રહ્યાં. નિવૃત્તિમાં હું અવારનવાર મુંબઈ આવન જાવન કરતો. કાકી સાથે રહેતો. સુખ દુઃખની વાતો કરતા ભૂતકાળની સ્મ્રુતિ તાજી કરતા અને આનંદથી સમય પસાર કરતા. કાકીએ અમને ભાઈ-બહેનને સંપીને અને એકમેકની સાથે પ્રેમ આનંદથી રહેવાની શીખ અને પ્રેરણા આપી છે જે અમને જીવનભર યાદ રહેશે. તેમના પુત્ર ભરતભાઈ મારા કપડા માપસર બંધબેસતા સીવી આપે છે અને નાનો પુત્ર યોગેશ મારું મુંબઈને લગતું કાર્ય નિષ્ઠાથી કરી આપે છે.
વહાલના સ્રોત સમા એ કાકી પણ અમને સૌને રડતા મૂકી ફેબ્રુઆરી ૨૦૨૨માં દેવલોક સિધાવી ગયાં.
વિહંગાવલોકન
મારું જીવન નસિબવંતુ છે. બાળપણમાં દાદીમા, આઠ વરસ સગી જનેતા, પછી કાકી, અમેરિકામાં વહાલસોયી પત્ની, મારી બા, અને બે પુત્રીઓનો ભરપુર સ્નેહ મને મળ્યો છે. મારા જન્મ પછી ભારતને આઝાદી મળી. ૨0-૨૨ વર્ષો સોનેરી કાળ સમા હતાં. એવો જ સોનેરી કાળ અત્યારે હ્યુસ્ટનમાં પ્રતિત થાય છે. દરેક કોમનાં લોકો અહીં હળીમળી રહે છે. સાહિત્ય, ધર્મ, કલા અને સામાજિક કાર્યક્રમોમાં સમય સુંદર રીતે પસાર થાય છે. જનસેવા અને પ્રભુસેવાના અનેક મોકા મળતા રહે છે. ખરેખર, સૌનો પ્રેમ અને સહકાર પામી ૭૫ વર્ષ ક્યાં પસાર થઈ ગયા તે ખબર જ ન પડી.
આશા છે કે જન્મોજનમ મને આ સહકારની કેડી મળ્યા કરે અને જીવનને નવપલ્લવિત કર્યા કરે.
અસ્તુ.
સમાપ્ત
હવે પછી – સપના વિજાપુરા : જિંદગીકા સફર
-
વામા-વિશ્વ : અંબાતી મોન્યુકાના અગ્નિપથની વાત
૧૩૨ વર્ષ પછી કોલસાની ખાણમાં કામ કરતી આધુનિક ૨૫ વર્ષની યુવતી અંબાતી મોન્યુકાના અગ્નિપથની વાત.
અનુરાધા દેરાસરી.
‘તું રુકેગી નહીં કભી,
તું મુડેગી નહીં કભી,
તું ન ઝુકેગી કભી,
કર શપથ, કર શપથ,
અગ્નિપથ, અગ્નિપથ…’૧૩૨ વર્ષ પછી કોલસાની ખાણમાં કામ કરતી આધુનિક ૨૫ વર્ષની યુવતીના અગ્નિપથની વાત. અંબાતીએ કોલસાની ખાણમાં ઈતિહાસમાં નવું પાનું ખુલ્લું મૂક્યું છે.

તેલંગણા રાજ્યની સિંગેરી કોલિયરીઝ કંપની લિમિટેડ કોલસાની ખાણમાં જવા એક ૨૫ વર્ષની આધુનિક યુવતી હેલમેટ સરખી કરી રહી છે. પછી હેલમેટ ઉપરનો લેમ્પ સરખો કરે છે, જે અંદર જઈ કોલસાની ખાણની સલામતી જુએ, ત્યારે ખાણના અંધારામાં પ્રકાશ ફેલાવી મદદ કરે છે. આ યુવતી અંદર જઈ રેસ્ક્યૂ (બચાવ) કરતી ટીમની મહિલા ઓફિસર છે.
જ્યાં એમ જડબેસલાક માન્યતા હતી કે, કોલસાની ખાણમાં ફક્ત પુરુષો જ કામ કરી શકે, તે પરંપરાગત બેડી તેલંગણાની માઇન એન્જિનિયર અંબાતી મોન્યુકાએ તોડી બતાવી છે અને અંડર ગ્રાઉન્ડ રેસ્ક્યૂ (બચાવ) ટીમમાં કામગીરી બજાવી રહી છે. જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં, નવા પગરણ મંડાય છે ત્યારે ઈતિહાસના પાનાં ફેરવાય છે અને નવો ઈતિહાસ રચાય છે. આધુનિક અંબાતીએ પણ સિંગેરી કોલસાની ખાણના ઈતિહાસમાં નવું પાનું ખુલ્લું મૂક્યું છે.
તેલંગણાના મધ્યમ પરિવારની દીકરી અંબાતી મોન્યુકાનો ઉછેર સામાન્ય પરંતુ ભણવામાં ખૂબ હોંશિયાર. આથી ધોરણ બારમા પછી, સારું પરિણામ આવવાથી એન્જીનિયરિંગ લાઇન લેવાની ઈચ્છા ધરાવતી હતી. પરંતુ એન્જીનિયરિંગમાં અંબાતીને માઇન એન્જિનિયર થઈ, કોલસાની ખાણોમાં કામ કરવું હતું.
અંબાતીએ જ્યારે ઘરમાં વિચાર રજૂ કર્યો કે, તે માઇન એન્જિનિયર થઈ, કોલસાની ખાણોમાં કામ કરવા માંગે છે ત્યારે કુટુંબીજનો, સગાવહાલાં અને અન્ય લોકોએ રીતસર તેના વિચારોને તોડી પાડયા. તેમની દલીલો હતી, ‘કોઈ પણ યુવતી ગમે તેટલી આધુનિક હોય પરંતુ તે કોલસાની ખાણમાં માઇન એન્જિનિયર તરીકે કામ ના કરી શકે. કોલસાની ખાણમાં કામ કરવા માટે સખત શારીરિક ને માનસિક તાકાત જોઈએ અને હજુ સુધી કોઈ મહિલાએ આ રીતનું કામ કર્યું નથી.’
સમાજની આ નકારાત્મકતાની અંબાતી પર અસર થઈ. શરૂઆતમાં તેણે ઈલેક્ટ્રિકલ કે કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનો વિચાર કર્યો. પરંતુ તેના દૃઢ મનોબળ, સાહસિક સ્વભાવ અને કંઈક નવું કરવાની વૃત્તિએ આ એન્જીનિયરિંગમાં નન્નો ભણ્યો અને માઇન એન્જિનિયરિંગમાં જ પ્રવેશ લીધો.
કાટગોદામ માઇન એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ લઈ ભવિષ્યમાં કોલસાની ખાણમાં કામ કરવાના તેના અગ્નિપથ પર ચાલવાની શરૂઆત કરી. તેણીના પિતા તેના પ્રેરણા સ્ત્રોત બન્યા. બધાની દલીલો નકારાત્મક રહી, જ્યારે અંબાતીના પિતાનું કહેવું હતું, ‘નાનપણથી ભણવામાં હોંશિયાર અને કંઈક નવું કરવાની સાહસિકવૃત્તિવાળી અંબાતી જરૂર માઇનિંગ એન્જિનિયર તરીકે આગવું કામ કરી બતાવશે.’
માઇન એન્જિનિયરિંગ કરી, અંબાતીએ હિન્દુસ્તાન ઝીંકમાં અનુભવ લીધો અને તેલંગણાની સિંગેરી કોલેરિયઝ કંપની લિમિટેડમાં નોકરી માટે એપ્લાય કર્યું. ખાણના રેસ્ક્યૂ ઓફિસર તરીકેના ઈન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું કે, ‘અમારા ૧૩૨ વર્ષના ઈતિહાસમાં કોલસાની ખાણમાં કોઈ યુવતી/મહિલાએ કામ નથી કર્યું. મહિલાઓની શારીરિક અને માનસિક તાકાત ખાણમાં કામ કરવાની હોતી નથી તો તમે કેવી રીતે રેસ્ક્યૂ ઓફિસર તરીકે કામ કરશો ?’
જેના જવાબમાં અંબાતી મોન્યુકાએ જવાબ આપ્યો, ‘ક્યાં એવું લખ્યું છે કે, સ્ત્રીઓ ખાણમાં કામ ન કરી શકે ? મને જો તક મળશે તો હું બતાવી આપીશ કે સ્ત્રીઓ ફક્ત ગૃહકાર્ય માટે જ નથી સર્જાઈ, જો તેને તક આપવામાં આવે તો તે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ કાર્ય કરી શકે છે, પછી એ આભ હોય કે ધરતી.’
અંબાતીનો આટલા નિર્ભય અને મક્કમ નિર્ણય જવાબે અંબાતીને સિંગેરી કોલેરિયઝ કોલસાની ખાણમાં નોકરી મળી ગઈ.
આ પછી રેસ્ક્યૂ ટીમ માટેની નાગપુરમાં ૧૪ દિવસની ટ્રેનિંગ શરૂ થઈ. આ ટ્રેનિંગ જ ખૂબ કઠીન હતી. જેમાં સવારે વહેલા ઊઠવાનું, દોડવા જવાનું પછી સવારના નવથી રાતના આઠ સુધી જુદી જુદી કસરતો, મેડિટેશન કરવાનું. ત્યારબાદ દરરોજ કોલસાની ખાણનું ઈન્સ્પેકશન કેવી રીતે કરવાનું વગેરે ટ્રેનિંગ લેવી પડી.
આ બેચમાં એકલી યુવતી હોવા છતાં તે ટ્રેનિંગમાં ઘણી આગળ રહી. ત્યાંના મેનેજરનું કહેવું હતું કે, ‘ખૂબ બહાદુર છોકરી છે. કોલસાની ખાણની કામગીરીમાં તે જરાય ગભરાતી નથી. તે ઉત્તમ રેસ્ક્યૂ ઓફિસર બની રહેશે.’
અંબાતી મોન્યુકા અહીં જીભભન્માં એક વર્ષથી કામ કરે છે. તેની કામગીરીની શરૂઆત હેલમેટ અને લેમ્પ વ્યવસ્થિત પહેરી, પોતાની ટીમને લઈને સિંગેરી કોલસાની ખાણમાં તાપમાન, ગેસનું પ્રમાણ વગેરે ચેક કરવાનું હોય છે. કોઈવાર ખાણમાં પથ્થરોનું સ્લાઇડિંગ થાય અને મજૂરોને ઈજા થાય તો તરત અંદર દોડી જઈ, તેમની બચાવગીરીનું કામ તત્કાલ કરવાનું હોય છે. જો કોઈ મજૂરોને ઈજા થાય તો તેમની સારવારની તત્કાલ જવાબદારી અંબાતીની છે. ઉપરાંત કોલસા શોધવા ખાણમાં ડ્રિલિંગ થાય ત્યારે પણ તેણે અંદર ઉભા રહી, સાવચેતી રાખવાની હોય છે. ખાણમાં આગ લાગવાની શક્યતા ઘણી વધારે હોય છે આથી આગથી બચાવગીરીની જવાબદારી પણ રેસ્ક્યૂ ઓફિસરની હોય છે.
કોલસાની ખાણમાં ઠંડક જાળવવા માટે મિથેન ગેસનો ઉપયોગ કરાય છે. વેન્ટિલેશન માટે દીવાલોમાં વાતાયનની સગવડ હોય છે. આ ખૂબ નાજુક કામગીરી છે. મિથેન વાયુ લિકેજ ના થાય એ જોવાની જવાબદારી પણ રેસ્ક્યૂ ઓફિસર એટલે અંબાતી મોન્યુકાની છે.
આમ કોલસાની ખાણનું કામ,રેસ્ક્યૂ ઓફિસર માટે ખૂબ જવાબદારીભર્યું છે. અંબાતી મોન્યુકાના ઉપરી અધિકારીઓનું કહેવું છે કે, અંબાતી મોન્યુકા હજુ ઘણી ઉંમરમાં નાની અને તાજી જ નોકરીમાં જોડાઈ હોવા છતાં તેણે તેના રેસ્ક્યૂ કામમાં માસ્ટરી મેળવી લીધી છે.
આનંદની વાત એ છે કે સિંગેરી કોલોરાઇઝ લિમિટેડ કંપની બીજી ૧૨૦ યુવતીઓની બેચ તૈયાર કરી રહી છે, જે કોલસાની ખાણોમાં રેસ્ક્યૂ ઓફિસરની કામગીરી કરશે. અત્યારે તેને ટ્રેનિંગ અપાઈ રહી છે.
-
ઢળતું જાતું
લતા હિરાણીઢળતું જાતું અજવાળું ને આવી ઊભી રાતદીવો ઝીણો ઝળઝળ થાતો, ઝાંખી થાતી ભાતહવે તો આવી ઊભી રાત….આંખ આંજતું અંધારું, આ આવી ઊતર્યું હેઠેપળપળની પોઠો બિચ્ચારી ભલે જુદારો વેઠેજળમાં ભળતી જાત, હવે તો આવી ઊભી રાત….ઉકલે ના અક્ષર આથમતા, ઝલમલ દેશો ડૂબેતૂટે આવનજાવન સઘળી, પિંડ-પદારથ ખૂટેવિખરાતી રે વાત, હવે તો આવી ઊભી રાત…..
:આસ્વાદઃ
દેવિકા ધ્રુવ
આજની સવારે એક મઝાનું ગીત વાંચવામાં આવ્યું અને જાણે સવાર સુધરી ગઈ. પહેલી નજરે લાગે કે,અજવાળા, અંધારા, સાંજ,રાત અને દીવાની વાત છે. હા, છે પણ માત્ર એ જ વાત નથી, અને એ જ તો આ કાવ્યની ખૂબી છે. જે કંઈ નથી કીધું તે બધું ખુલી ગયું છે. કારણ કે, એ માત્ર રચનાકારની સ્વાનુભૂતિ નથી. પણ સર્વાનુભૂતિ હોઈ સૌ કોઈને સ્પર્શે છે.
સાવ નાની, માત્ર બે જ ટૂંકા અંતરામાં રચાયેલી આ કવિતાનો આસ્વાદ કરવાનું મન થાય જ, થાય.
ઢળતું જાતું અજવાળું ને આવી ઊભી રાત..
દીવો ઝીણો ઝળઝળ થાતો, ઝાંખી થાતી ભાતસાંજની સાથે જ અજવાળું પણ ઢળે અને અજવાળું ઢળે એટલે કે રાત પડવા માંડે એ એક કુદરતનો નિયમ છે. એ હકીકતને માનવ-જીવન સાથે જોડીને કવયિત્રી તરત જ બીજી પંક્તિમાં કહે છે કે, ઝીણો દીવો ઝળઝળ થાય ને તેવે વખતે આખીયે ચોક્ખી દેખાતી ભાત ઝાંખી થતી લાગે. આ દીવો એટલે કે, કાયાના કોડિયામાં ભીતર રહેલો આતમનો દીવો. એ દીવો ખરેખર તો ઝળહળતો હોય. તો પછી ઝાંખુ કેવી રીતે દેખાય એ સવાલની સાથે જ નજર પડે છે ઝળઝળ શબ્દ પર. સામાન્ય રીતે દીવાની સાથે ઝળહળ શબ્દ જાય. પણ અહીં ‘ઝળઝળ’શબ્દ પ્રયોજાયો છે. આંખમાં આવતાં ઝળઝળિયાંનો અર્થ અભિપ્રેત છે. ઝળઝળિયાને કારણે ઝાંખું દેખાય. ને ત્યારે ક્ષણભંગુર શરીરના અંગોનો અર્થ ખુલે છે. જીવનના સાંજના પડાવે ગાત્રો ઢીલા અને ધીમા પડે છે. ખૂબ ચાલ્યાંનો થાક વર્તાય છે. આંખે ઝાંખપ વળે છે. અંધારાં ઘેરી વળે છે.
એ જ ભાવને બીજા અંતરામાં કવિ રૂપકો અને સજીવારોપણ થકી વ્યક્ત કરે છે. જાણે કે કોઈ આવી આંખમાં કાજળ નહિ,અંધારું આંજી જાય છે. પળેપળ સાવ અલગ અલગ વર્તાય છે. કંઈક ને કંઈક નવી નવી વ્યાધિઓ આવતી રહે છે. ક્ષણની માફક જ એક જાય ને બીજી આવીને ઊભી જ રહે છે. દિવસને અંતે ઉતરતા જતાં અંધારાંની માફક જ રાખનાં આ રમકડાં અંતે જળમાં સરી જતાં સમજાય છે અને અનુભવાય છે. ‘જળમાંથી નીકળી આંગળી ને જગા પૂરાઈ ગઈ.’ઓજસ પાલનપુરીના એ મશહૂર શેરનો સૂર સંભળાય વગર રહેતો નથી. આ અંતરામાં એકમાત્ર જાત શબ્દ અહીં રાતનો ભેદ ખોલી આપે છે.
ને ત્યારે ઘડીભર એ કહેવાનું મન થાય કે,
” સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો અરે સૂરજ, ન લાવો રાત ધસમસતી.”બીજા અંતરામાં ક્રમિક રીતે રાતની જ વાત આગળ વધે છે. હજી ક્યાંય કવિએ ચોક્ખી રીતે જીંદગીને, શરીરને કે મૃત્યુને વર્ણવ્યું નથી. એ તો રાતની જ વાત કરે છે. બાકીનું તો ભાવકના મનોજગતને માટે છોડી દે છે. એ કહે છે કે, જેમ જેમ અંધારું થતું જાય છે તેમ તેમ આંખે અક્ષરો ઉકેલાતાં નથી, બધું અંધકારમાં ડૂબતું જણાય છે, જીવનની તમામ દૈનિક ક્રિયાઓ, અવરજવર બધું શમવા લાગે છે,વાતો વિખરાઈ જાય છે અને અંતે પિંડ પણ પોઢી જાય છે.
ઉકલે ના અક્ષર આથમતા, ઝલમલ દેશો ડૂબે
તૂટે આવનજાવન સઘળી, પિંડ-પદારથ ખૂટે
વિખરાતી રે વાત, હવે તો આવી ઊભી રાત…..આ અંતરામાં પણ એક જ એવો શબ્દ મળે છે જે આપણને છૂપાયેલા ગૂઢાર્થ તરફ દોરી જાય છે. ‘પિંડ પદારથ’. કેટલો સરસ શબ્દ છે? ‘પદારથ’. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’ કવયિત્રીના મનમાં નરસિંહ મહેતાની ઘેરી અસર છે. તેમણે અગાઉ પણ નરસિંહ મહેતા માટે એક સુંદર સ્તુતિગાન આપ્યું છે કે “આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો”.
હા, તો આ પદારથ ખૂટે ત્યારે શું શું થાય છે? રાત પડવા માંડે ને દુનિયાનું રોજીંદું જીવન જંપી જાય; બરાબર તે જ રીતે જીંદગીની રાત નજીક આવે ત્યારે આંખે દેખાવાનું બંધ થાય, નાડીઓ તૂટવા માંડે, શ્વાસ રુંધાવા લાગે, પાંચે ઇન્દ્રિયો લથડવા માંડે અને આખાયે આયખાની વાતો વિસરાતી અને વિખરાતી ભાસે. આ એક સનાતન સત્ય છે. એને સ્વીકાર્યા સિવાય બીજો કોઈ પર્યાય ક્યાં છે? સદીઓથી સંતોએ, કવિઓએ અને કલાકારોએ અલગ અલગ અંદાઝમાં આ વાત સમજાવી છે.
અહીં પ્રયોજાયેલ ‘હવે’ શબ્દ પણ કેટલો સૂચક છે? અર્થોનાં ઘણાંબધાં દ્વાર ઉઘાડી દે છે. હંસલા હાલોને હવે…મોતીડાં નહિ રે મળે.. હવે.. હવે એટલે કે, ઢળતી સાંજની જેમ જ જિંદગીનો આ અંતિમ પડાવ છે. સવારથી માંડીને સાંજ સુધી ઘણું બધું કરી લીધું છે. પામવાનું હતું તે પામી લીધું છે, આપવાનું હતું તે આપી દીધું છે. અરે, રડવું, હસવું, દોડવું, ચડવું, પડવું, વેઠવું, વધાવવું, સ્વીકારવું, સત્કારવું…તમામ કામો અને ક્રિયાઓ કરી લીધી છે. હવે બાકી કશું રહ્યું નથી. રહ્યું છે તે માત્ર હવે..હવે આવી ઊભેલી રાતને, એના અંધકારને જોવાનો,એને પણ સ્વીકારીને સત્કારવાનો અને ભેટવાનો.
આવી સુંદર કવિતા ત્યારે જ લખાય જ્યારે નિકટથી અને ભીતરથી જાતને ઝંઝોડી હોય, સમજણનો દીવો સતત પ્રગટાવેલ રાખી જાણ્યો હોય અને મનને સ્વસ્થ રહેવા કેળવ્યું હોય. આ કવિતાની વધુ વિશેષતા એ છે કે, એમાં ઓછામાં ઓછા અને ઉચિત શબ્દો પ્રયોજાયા છે.’જળમાં ભળતી જાત’ વાંચતા તો નજર સામે નદીમાં પધરાતા અસ્થિ-વિસર્જનનું ચિત્ર ખડું થાય છે. અંત્યાનુપ્રાસ-રાત, ભાત, વાત, હેઠે, વેઠે, ભેટે વગેરે- કેવા સહજપણે ગૂંથાઈ ગયા છે! શાંત વહેતા સરોવરનાં જળ જેવો હળવો લય પણ ચિત્તમાં સતત ગૂંજ્યા કરે તેવો છે અને આદિથી અંત સુધી કવિતાનું મુખ્ય હાર્દ પણ સુપેરે જળવાઈ રહ્યું છે.
કવયિત્રી લતાબહેન હિરાણીની કલમને સલામ.
અસ્તુ.
Devika Dhruva.- ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
-
એક શિક્ષક, અનેક વિદ્યાર્થી શાળા, અનેક શિક્ષક, શૂન્ય વિદ્યાર્થી શાળા
નિસબત
ચંદુ મહેરિયા
૨૦૨૬-૨૭ના શૈક્ષણિક વરસનો આરંભ થઈ ગયો છે. ગુજરાતનો બહુ ગાજેલો શાળા પ્રવેશોત્સવ પણ રંગેચંગે સમાપ્ત થઈ ગયો છે.. આઝાદી મળી ત્યારે દેશનો સાક્ષરતા દર ૧૮.૩૩ ટકા હતો તે ૨૦૧૧માં ૭૪.૦૪ અને આજે ૮૦.૯ ટકા છે. એટલે સાક્ષરતા દરમાં અનેકગણો વધારો થયો છે. છતાં આપણા પ્રાથમિક શિક્ષણની હાલત ભાંખોડિયા ભરતાં બાળક જેવી વર્તાય છે. એટલે દેશના અને રાજ્યના પ્રાથમિક શિક્ષણની દશા અને દિશા વિશે વિચારવાનો આ યોગ્ય સમય છે.
૨૦૦૯ના શિક્ષણના અધિકાર કાયદાથી ૬ થી ૧૪ વરસના બાળકોને ફરજિયાત અને નિ:શુલ્ક શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. ખાનગી શાળાઓમાં ગરીબ વર્ગના બાળકો માટે ૨૫ ટકા બેઠકો ફાળવવાની કાયદાકીય જોગવાઈ પછી તો ફરજિયાત શિક્ષણ સમાન પણ લાગવા માંડ્યું છે. મુંબઈ હાઈકોર્ટની નાગપુર પીઠે તેના તાજેતરના ચુકાદામાં ખાનગી પ્રાથમિક શાળામાં ફી નહીં ભરી શકેલ એક ૧૩ વરસની બાળકીને શાળામાંથી કાઢી મૂકવાના પગલાંને બંધારણના અનુચ્છેદ ૨૧-એ અને આરટીઈ અધિનિયમની કલમ ૧૬(૪) અંતર્ગત ગેરકાયદેસર અને મનસ્વી ગણાવ્યું છે. બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે આરટીઈ કાયદા હેઠળ ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં વિધાર્થીના વાલીને પસંદગીની શાળા નક્કી કરવાનો અધિકાર હોવાનું નકાર્યું છે. આ બંને ચુકાદાથી પ્રાથમિક શિક્ષણને મળેલું સ્થાન અને અધિકારના અમલ અંગેનું અદાલતી વલણ સમજાય છે. .
એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ( અસર- ASER ) જણાવે છે કે આપણા દેશનું પ્રાથમિક શિક્ષણ મોટાભાગે સરકારી શાળાઓ પર નભે છે. દેશમાં આશરે ૧૦.૧૭ લાખ ગવર્નમેન્ટ પ્રાઈમરી સ્કૂલ્સ છે. તેમાં લગભગ ૧ કરોડ પ્રાઈમરી ટીચર્સ છે. રાષ્ટ્રીય કક્ષાએ ૬૬.૮ ટકા પ્રાથમિક શિક્ષણ સરકારી શાળાઓ મારફત આપવામાં આવે છે. મોટા રાજ્યોમાં સૌથી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ બંગાળમાં છે. બંગાળની કુલ પ્રાથમિક શાળાઓમાં ૮૦ ટકા સરકારી છે. ગ્રામીણ બિહારના ૬ થી ૧૪ વરસના ૮૦ ટકા બાળકો સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણે છે.
સરકારી શાળાઓએ ઘરેઘરે પ્રાથમિક શિક્ષણ તો પહોંચાડ્યું છે પરંતુ તે કેટલું ગુણવત્તાયુક્ત છે તે મોટો સવાલ છે. ભારત સરકારના ખુદના ડેટા જણાવે છે કે દેશમાં એક લાખ કરતાં વધુ એકલ શાળાઓ છે. એટલે કે આ શાળાઓમાં એકથી વધુ ધોરણના તમામ બાળકોને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષક છે. ૨૦૨૨માં ૧, ૧૮, ૧૯૦, ૨૦૨૩માં ૧,૧૦,૯૭૧ અને ૨૦૨૫માં ૧,૦૪, ૧૨૫ શાળાઓમાં જુદાજુદા ધોરણના ઘણા વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવે છે. ૩૩,૭૬,૭૬૯ બાળકો આવી એકલ શાળાઓમાં ભણે છે. આંધ્રપ્રદેશમાં એક્લ શાળાઓની સંખ્યા અને ઉત્તરપ્રદેશમાં એકલ શાળાઓમાં ભણતા વિધાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે.
દેશની ૧૦.૧૭ લાખ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી ૨.૨૪ લાખ શાળાઓ જર્જરિત કે અસલામત છે. ગયા વરસે રાજસ્થાનના ઝાલાવાડના મનોહરથાણા બ્લોકની પીપલોદી સરકારી પ્રાઈમરી સ્કૂલની છત તૂટી પડતાં ૭ બાળકોના મોત થયા હતાં.
૨૦૨૫ના વરસના ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરી દરમિયાન શિક્ષણ મંત્રીએ એવી માહિતી આપી હતી કે રાજ્યમાં ૩૨૭ પ્રાથમિક શાળાઓ એક જ ઓરડામાં ચાલે છે. એટલે બધા ધોરણના વિદ્યાર્થીઓને એક જ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે. તેનું કારણ શાળાના મકાન માટે જમીન ઉપલબ્ધ ન હોવાનું છે. રાજ્યના ૩૩ જિલ્લાની ૫૧૭૫ સરકારી પ્રાથમિક શાળાઓમાં ૬૧૦૦ વર્ગખંડ ભણાવવા માટે અસલામત છે. કેમકે તે ઓરડાઓ ગમે ત્યારે પડી જાય તેવા જર્જરિત છે. માત્ર અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં જ આ સ્થિતિ નથી રાજ્યના મહાનગરો અમદાવાદ, વડોદરા, જુનાગઢ અને ભાવનગરની ૬૬૭ શાળાઓના ૭૬૪ વર્ગખંડો ખરાબ સ્થિતિમાં છે.
ગત વરસના સંસદના શીતકાલીન સત્રમાં લોકસભામાં એવી માહિતી આપવામાં આવી હતી કે દેશમાં ૫૧૪૯ સરકારી શાળાઓમાં એક પણ વિદ્યાર્થી અભ્યાસ કરતો નથી. એટલે કે આ શાળાઓમાં કોઈ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નથી. આશ્ચર્યની વાત તો એ છે કે આ શૂન્ય વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ૫,૧૪૯ શાળાઓમાં ૧.૪૪ લાખ શિક્ષકો ફરજ(?) બજાવે છે. શિક્ષકોની કામગીરી તો વિદ્યાર્થીઓને ભણાવવાની છે. પરંતુ જો વિદ્યાર્થીઓ જ ન હોય તો આ ગુરુદેવો શું કરતા હશે? સરકારનો જવાબ છે કે બાળકોને સરકારી શાળાઓ તરફ આકર્ષવા અને તેમને પ્રવેશ મેળવવા સમજાવવાનું કામ કરવા આ શિક્ષકો રાખ્યા છે. એટલા માટે જ શૂન્ય વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ૫૦૦૦ શાળાઓમાં દોઢેક લાખ શિક્ષકો છે ! જ્યારે દેશમાં લાખો શિક્ષકોની ઘટ હોય ત્યારે શૂન્ય વિદ્યાર્થી સંખ્યાની શાળાઓમાં શિક્ષકોનું હોવું પ્રજાના નાણા અને દેશના સંસાધનોનો બગાડ છે, વેડફાટ છે.
પ્રાથમિક શિક્ષણ નબળું હોવા પાછળના કારણોમાં આવી વહીવટી અણઆવડત કે આવડતનો મોટો ફાળો રહેલો છે. બધા જ ધોરણના વિદ્યાર્થીઓને એક જ ક્લાસ રૂમમાં ભણાવવાથી ભણતરમાં શું ભલીવાર આવે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સમાં ગુજરાતના પ્રાથમિક શાળાના બાળકો માટે એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે આ બાળકો શિક્ષકો જે ભણાવે છે તે સમજવામાં અને બીજાને સમજાવવામાં કાચા છે.
બાળકોના ભણતર પરની માઠી અસર ‘અસર’ ના રિપોર્ટમાં પણ દર્શાવી છે. ધોરણ ૧ ના ૩૧.૯ ટકા બાળકો ૧ થી ૯ સુધીની ગણતરી પણ વરસના અંતે કરી શકતા નથી. ધોરણ ૩ના ૬૨.૫ ટકા વિદ્યાર્થીઓ સામાન્ય સરવાળા બાદબાકી કરી શકતાં નથી.
જ્યારે શાળામાં આપવામાં આવતું શિક્ષણ નબળું હોય ત્યારે માબાપ કે વાલીએ બાળકોના ટ્યુશન કે કોંચિંગનો માર્ગ કમને કે મધ્યમવર્ગે અન્ય ખર્ચ પર કાપ મૂકીને પણ અપનાવવો પડે છે. નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ(NSO) ના આંકડા જણાવે છે કે ગુજરાતના વાલીઓ ખાનગી ટ્યુશન પાછળ વરસે સરેરાશ રૂ.૧૪,૫૪૫ ખર્ચે છે. પ્રિપાઈમરી થી ધોરણ ૧૨ સુધીના શહેરી ૩૫ ટકા અને ગ્રામીણ ૧૨ ટકા વિદ્યાર્થીઓ ખાનગી કોંચિંગ લે છે. ગુજરાતમાં ધોરણ ૧ થી ૫માં ખાનગી ટ્યુશનનો વ્યક્તિદીઠ સરેરાશ ખર્ચ રૂ.૯૧૫૨ છે.
દલિત, આદિવાસી, નબળા વર્ગો અને ગરીબોને ખાનગી શાળાઓની ફી પોસાતી નથી એટલે તેમના માટે સરકારી શાળાઓ એક માત્ર વિકલ્પ છે. સરકારી શાળાઓના નબળા શિક્ષણને પ્રતાપે આ બાળકોનું પાયાનું એવું પ્રાથમિક શિક્ષણ કાચું રહે છે. સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો બાળકોને ભણાવવા ઉપરાંત અનેક પ્રકારની વધારાની સરકારી કામગીરીઓના બોજ તળે દબાયેલા છે. લાખો શિક્ષકોની ખાલી જગ્યાઓ, કાયમીને બદલે સહાયક સિક્ષક તરીકેની નોકરી અને તેમાં એકલ શાળા કે શૂન્ય વિદ્યાર્થી શાળા જેવા વ્યવધાનો પ્રાથમિક શિક્ષણને વધુ નબળું બનાવે છે. શિક્ષણને તમામ દુખોની દવા માનવી હોય તો પ્રાથમિક શિક્ષણ ગુણવતાસભર અને સબળુ હોય તેની તકેદારી રાખવી જોઈએ.
સાંદર્ભિક વિડીયો : નેટ પરથી
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
‘ભારત એક ખોજ’નું સંગીત – [ ૩ ] – વર્ણવ્યવસ્થાની શુરૂઆત
દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ‘ભારત એક ખોજ’નું સંગીત

(એક સમયે દૂરદર્શન પરથી પ્રસારિત, શ્યામ બેનેગલ દિગ્દર્શીત, જવાહરલાલ નહેરુના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ પર આધારિત ધારાવાહિક ‘ભારત એક ખોજ’ ના સંગીતનો આસ્વાદ આ શ્રેણીમાં કરાવાયો છે. વનરાજ ભાટિયાએ તેનું સંગીત તૈયાર કર્યું હતું.)
બીરેન કોઠારી
ચોથો હપ્તો છે ‘વર્ણવ્યવસ્થા કી શુરૂઆત’,
મણકાના આરંભે ‘વિદેઘ માધવ ચલા અગ્નિ વૈશ્વાનર કો જબ મુખ મેં લેકર’ નું સમૂહગાન છે. (@ ૨.૪૩થી ૪.૩૬). આ ગીત યજુર્વેદમાં ઉલ્લેખાયેલી વિદેઘ માધવની કથાને વર્ણવે છે.
‘જોતતા ધરતી લિયે વો બૈલ છહ, ઔર ઋતુયેં હૈ હમારી છહ’ શબ્દો ધરાવતું ટૂંકું સમૂહગાન ખેતીના મહત્ત્વને દર્શાવે છે. (@ ૫.૧૩ થી ૬.૦૮)
આ સમયગાળાને આગળ વર્ણવતાં ‘આદિપુરુષ કે યજ્ઞ મેં, પુરુષ કી હવિ કી, દેવતાઓં ને કી ધારણા’નું સમૂહગાન છે. જે ભારતવર્ષમાં વર્ણવ્યસ્વસ્થાની શરૂઆત દર્શાવે છે. ( @ ૬.૫૨ થી ૭.૫૩)
આ હપ્તામાં શમ્બૂક ( @ ૮.૦૬થી ૧૩.૩૩) અને એકલવ્યની ( @ ૧૩.૩૫ થી ૨૦.૪૫) વાત છે, એમ ‘ત્રણ પિતાનો એક પુત્ર’ ( @ ૨૦.૪૬ થી ૪૧. ૦૪) નામની જાણીતી વાર્તા પણ છે.
આ વાર્તામાં સમૂહગાન રૂપે ‘વણિક ઈન્દ્ર હૈ, આઓ, બિનતી હૈ’ (@ ૨૩.૪૪ થી ૨૪.૫૭) સાંભળી શકાય છે, જે ઈશ્વરને થતી પ્રાર્થનાસ્વરૂપે છે.
આ હપ્તાના અંત ભાગમાં શુદ્રોની સ્થિતિ વર્ણવતા ગુજરાતી ગીતના હિન્દી અનુવાદ ‘મૈં તમ મેં જાતા હૂં, મૈં તમ સે આતા હૂં’નું સમૂહગાન છે. (@ ૪૧.૫૪ થી ૪૩.૧૩)
આ હપ્તો અહીં જોઈ શકાશે.
Disclaimer:
The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.
ક્રમશઃ
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
