વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ‘ભારત એક ખોજ’નું સંગીત – ‘ભારત માતાકી જય’ અને ‘આરંભ’

    દિગ્દર્શન અને સંગીતનું સાયુજ્ય એટલે ભારત એક ખોજનું સંગીત  

    બીરેન કોઠારી

    પહેલા હપ્તાનું શીર્ષક ‘ભારત માતા કી જય’  અને બીજા હપ્તાનું શીર્ષક ‘આરંભ’ છે.

    પહેલા હપ્તામાં પુસ્તકની પૂર્વભુમિકા રજૂ કરાઈ છે. પંડિત નેહરૂ જ્યારે પણ કોઈ સભામાં જતા ત્યારે સમગ્ર પ્રજા ‘ભારત માતાકી જય’ ના ઘોષથી તેમનું અભિવાદન કરતી. પંડિતજી લોકોને પુછતા કે ‘ભારત માતા’ કોણ છે?. તમે લોકો કોનો ‘જય’ ઈચ્છો છો?.

    અહમદનગરની જેલમાં પુસ્તક લખવાની શરૂઆત કરતાં નેહરૂના મનમાં  સવાલ થાય છે ભારતના ભૂતકાળમાં એવી તે શું શક્તિ હતી જેને કારણે ભારત એ સમયમાં મહાન સંસ્કૃતિ હતી? એવું તે શું થયું કે વર્તમાનમાં એ શક્તિ હણાઈ ગઈ છે?

    તેમના આ સવાલોના મનોમંથન સ્વરૂપે સિરીયલનાં શીર્ષ ગીતનું મહત્વ રહેલું છે. તે દર્શાવવા માટે શીર્ષ ગીત ફરીથી – @૧૦.૨૭ થી  @૧૪.૧૨ સુધી – ગીતના બોલને અનુરૂપ દૃશ્યો સાથે આખું ગીત, અંતમાં  ‘હૈ કીસી કો નહીં પતા નહીં પતા’ બોલ સાથે, રજૂ થાય છે.

    રેલ્વે યાત્રા કરતાં કરતાં તેઓ  સમગ્ર દેશનું પરિભ્રમણ કરતા રહે છે. એ સમગ્ર દૃશ્યો દરમ્યાન કીબોર્ડના સુરો સાથેનું પાર્શ્વસંગીત વાગતું રહે છે. યાત્રાની સમાપ્તિ સમયે નેહરૂ બોલતા સંભળાય છે કે ‘અત્યાર સુધી જે વિષય મારા માટે માત્ર બુદ્ધિગમ્ય હતો તેને હવે હું લાગણી અને વાસ્તવિક ભારતની સાચી સમજ સાથે જોવા લાગ્યો હતો. ૧૮.૨૭થી ૨૨.૪૫  સુધી બેકગ્રાઉન્ડમાં શાસ્ત્રીય આલાપની સાથે ભારતની પ્રાચીન સંસ્કૃતિનાં સ્થાપત્યોનાં દૃશ્યો આપણી નજર સામેથી પસાર થાય છે.

    આ એપિસોડમાં તેઓ મધ્ય કાળમાંથી મોગલ સામ્રાજ્યના અકબરના સમય સુધી આવે છે ત્યારે નેહરૂની સામે ભારતના ઇતિહાસના ઉતારચડાવ, જયની પરાકાષ્ઠાઓ અને પરાજયની પીડાઓનું દર્શન ચારે તરફ ઉઘડવા લાગે છે. તેમનાં વિવરણના આ તબક્કાને પણ @૨૮.૩૧ થી લઈને @૩૦.૪૨ સુધી નહેરૂના સ્વગત સંવાદ અને આપણી સામે ચાલી રહેલી દૃશ્યાવલી સાથે શાસ્ત્રીય સંગીતના આલાપથી બેકગ્રાઉન્ડમાં વણી લેવાઈ છે.

    પહેલા હપ્તાના અંતમાં નેહરૂનું મનન વર્તમાન પરિસ્થિતિ સુધી પહોંચે છે અને શીર્ષ ગીતના બોલ સાથે પહેલો એપિસોડ પુરો થાય છે.  દરેક એપિસોડના અંતમાં શીર્ષ ગીતના બોલ  સંભળાતા રહે એ ક્રમ પણ સિરીયલની સિગ્નેચર ઓળખ બની રહે છે.

    આ હપ્તો અહીં જોઈ શકાશે.

    ****

    મૂળ પુસ્તકની પૂર્વભૂમિકા પછી બીજા હપ્તાથી જવાહરલાલ નેહરૂએ આલેખેલા ઈતિહાસનું દર્શન શરૂ થાય છે. આ હપ્તાનું નામ છે. ‘આરંભ’.

    પુસ્તકના પ્રકાશન અને ટી..વી.ધારાવાહિકના નિર્માણ વચ્ચેના લગભગ અડધી સદીના સમયગાળામાં અનેક બાબતો બદલાઈ, અને પુસ્તકમાંની અનેક વિગતો અંગે માહિતી પણ ઊપલબ્ધ થઈ શકે. શ્યામ બેનેગલે આ મહત્ત્વના મુદ્દાને ધ્યાનમાં રાખીને અભિનેતા ઓમ પુરીના સ્વરમાં આ પૂરક માહિતીનું કથન  ઊમેર્યું છે. જેમકે પ્રાચીન ભારતની સંસ્કૃતિના વિકાસની અગમ્યતાનાં પંડિત નેહરૂનાં વિવરણ સાથે @૫.૦૦થી ૫.૩૮ સુધીમાં નહેરૂના મનોભાવની સાથે ઓમ પુરીના સ્વરમાં આ પૂરક માહિતીનું કથન અને તેની સાથે ઊંડો ઊંડો શંખનાદ સંભળાતો હોય તેવું પાર્શ્વસંગીત પણ સંભળાતું રહે છે.

    પ્રાચીન ભારતની સિંધુ સંસ્કૃતિના તે સમયની પર્શિયા, મેસોપોટેમિયા અને ઈજિપ્ત જેવી અન્ય સંસ્કૃતિઓના રોજબરોજના જીવનવ્યવહારનો પરિચય કરાવવા માટે કોઈ વિધિની દૃશ્યાવલી સાથે @૨૫.૪૩ થી ૨૭.૦૦ સુધી લોકવાદ્ય સંગીત વાગતું રહે છે.

    બીજા એપિસોડના અંતમાં મોહન જો દરો અને હડપ્પાની સંસ્કૃતિના પહેરવેશ, વિધિઓ, કળા-કારીગીરી અને રહનસહનનું વર્તમાન સાથે કેટલું સામ્ય છે તે દર્શાવવા એ ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષો બતાવાઈ રહ્યા છે તેની સાથે પણ એક આલાપ @૪૧.૦૦ થી ૪૧.૫૨ સુધી મંત્રોચ્ચારની શૈલીમાં સંભળાય છે, જે તે પછીથી તરત જ કીબોર્ડ વડે સર્જાતા પાઇપતરંગના સુર જેવાં સંગીતમાં એપિસોડના અંતમાં પરિણમે છે.

    આ હપ્તો નીચેની લિન્‍ક પર જોઈ શકાશે.


    ક્રમશઃ


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


    Disclaimer:

    The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.

  • જૂની રંગભૂમિનાં લોકપ્રિય ગીતો : પ્રાસંગિક પરિચય

    વેબ ગુર્જરી પર ” સુશ્રી જીનાબેન શેઠનાં પુસ્તક “જૂની રંગભૂમિનાં લોકપ્રિય ગીતો” પર આધારિત નવી લેખમળા શરૂ કરી રહ્યાં છીએ.

    “જૂની રંગભૂમિના લોકપ્રિય ગીતો”
    લેખિકાઃ જીના શેઠ
    પહેલી આવૃતિ, પૃષ્ઠ : 16+448
    પ્રાપ્તિસ્થાનઃ ગૂર્જર સાહિત્ય ભવન, રતનપોળનાકા સામે, અમદાવાદ ૩૮૦૦૧

    સુશ્રી જીનાબેન શેઠ પોતા વિશે કહે છે કે “ન તો હું કલાકાર છું, ન તો કોઈ સંશોધક, ન લેખક.” તેઓ અન્ય કોઈ સંદર્ભમાં તેમનો પરિચય જણાવવા તેમનો વ્યવસાય જણાવે તો “ગૃહિણી” એમ જ લખે. જ્યાં સુધી જીનાબેનના અન્ય શોખ અને રસ વિશે વધારે જાણવા ન મળે ત્યાં સુધી કોઈ પણ એવું જ માને. જીનાબેનનાં વ્યક્તિત્વમાં જે  સંશોધક કે લેખક છુપાયેલ હતાં તેને તેમણે પોતાની ગૃહિણી તરીકેની વ્યસ્તતામાંથી બહુ સહજ, અને સભાન,પણે બહાર આવવાં દીધા. તેમનાં રૂપાંતરણની આ અનુભૂતિની વાત તેમના જ શબ્દોમાં જાણીએ.

    અનુભૂતિની એરણે…

    ભારતમાં ગીતગંગા તો અનાદિ કાળથી વહેતી આવી છે. કોઈ કાંઠે બેસી એનાં નિર્મળ નીરને નીરખ્યાં કરે છે, કોઈ એનું પાન કરે છે, તો કોઈ એ રસસરિતામાં ડૂબકી મારી એનો આહ્‌લાદક રસાનંદ લે છે. મને પણ બાળપણથી જ ગીતો ખૂબ ગમતાં. તેમાં આવતું સંગીત, તેના શબ્દો, સૂર, લય, તાલ મનને જકડી રાખતાં. નવાં ગીતો લખવા જેટલી તાકાત તો હતી નહીં, પણ પ્રમાણમાં થોડી મોટી ઉંમરે ગીતનું સંગીત જેમ ગમતું તેમ તેના શબ્દો અને ભાવને સમજવાનું પણ ગમવા લાગ્યું. શાળામાં આ પ્રવૃત્તિને લીધે ભાષાના વિષયોમાં સારા માકર્સ મળતા તો પછીથી આ જ આવડતને થોડી મઠારી “ગુજરાતી કથાગીતો’ પુસ્તક પણ તૈયાર થયું.

    આ પુસ્તક વખતે શ્રી હસમુખભાઈ મહેતાએ વિનયકાંત દ્વિવેદી દ્વારા સંપાદિત “મીઠા ઉજાગરા? પુસ્તક આપ્યું હતું. જે ખૂબ ગમ્યું હતું. તે વખતે તો તેનાં ગીતોનો કોઈ ખાસ ઉપયોગ નહોતો કર્યો, પણ તેમાં થોડી નોંધો કરી રાખી હતી જે થોડા સમય પછી ફરી હાથમાં આવી ત્યારે ફરી મન ખેંચાયું. આ પુસ્તકમાં જૂની રંગભૂમિનાં ગીતો છે. સાથે બે સી.ડી. પણ છે. જે જોઈ-માણી. ખૂબ મજા આવી, પણ આ વિષય અંગે કોઈ જ જાણકારી ન હતી. થોડાં પુસ્તકો મેળવ્યાં. વાંચ્યાં. ગીતો જેટલી જ એની વાતો પણ રસપ્રદ હતી.

    જ્યારે આ તમામ કલાકારો વિશે જાણ્યું ત્યારે રંગભૂમિ પ્રત્યેની તેમની અપ્રતિમ નિષ્ઠા, સમર્પણ અને પ્રેમ જોઈને હું દંગ રહી ગઈ. ગુજરાતી રંગભૂમિના વિકાસ અર્થે આ કલાકારોએ કેવું અભૂતપૂર્વ કામ કર્યું છે તે મને ત્યારે સમજાયું. મનમાં વિચાર આવ્યો કે શું આ વિષયમાં થોડું કામ કરી શકાય ? પણ મારી શી લાયકાત ? ન તો હું કલાકાર છું, ન તો કોઈ સંશોધક, ન લેખક…. કયા રૂએ આ કામ થાય ? પણ ખબર નહીં કોઈક ધક્કો મારી રહ્યું હતું !

    આ સમય દરમિયાન જૂની અને નવી રંગભૂમિના ઉત્તમ કલાકાર ઉત્કર્ષ મજુમદાર અમદાવાદ આવ્યા હતા. એમના મોઢે એ રસમય વાદો… એમની રંગયાત્રાની વાતો સાંભળી ત્યારે જલસો પડી ગયો. એ આનંદે પણ થોડો ચેપ લગાડયો અને આ દિશામાં પ્રેરિત કરી. પછી તો યૂ-ટ્યૂબ પર સરિતા જોશીની વાતો પણ સાંભળી અને એમના અનુભવો પણ માણ્યા અને જેમ “વેણુ વાંસળી વાગે ને સૂતાં જાગે’ એમ ફરી મનમાં સળવળાટ થયો. આમ આ બધાં જ પરિબળોએ પોતાનું કામ કર્યું

    મેં તો મોજ ખાતર આ માહિતી ભેગી કરી છે. થોડા મારા વિચારો છે, થોડા અન્યોના. દસ્તાવેજીકરણનો કે કડીબદ્ધ ઇતિહાસનો કોઈ દાવો નથી. બસ માણ્યું તેનો ગુલાલ જ છે આ! રસ પડે તો તમે પણ મારી સાથે ભીંજાજો…

    આ વિષયે એક ગૃહિણીની બીબાઢાળ જિંદગીને રસમય બનાવી છે. એની આંખોમાં રોમાંચ અને રોચકતા આંજી છે. એની કલા અને કલાકારો પ્રત્યે જોવાની દષ્ટિ બદલી નાખી છે. અરે! જીવન પ્રત્યે જોવાની દષ્ટિ પણ બદલી નાખી છે. કલા, કલાની કદરદાની, કલાકારોની મહેનત અને લગન પ્રત્યે ભાગ્યે જ એણે ધ્યાન આપ્યું હતું કે એ રીતે એની તરફ જોયું હતું. નાનપણથી જ એ અભિનયકારોને જાદુગરની જેમ જોતી. ને હંમેશાં એ વિસ્મય થતું કે કઈ રીતે એક જ વ્યક્તિ આટલા જુદા-જુદા રોલ સફળતાથી ભજવી શકતી હશે! એના એ વિસ્મયે અને એના મનમાં ધરબાયેલી એ જિજ્ઞાસાએ જ કદાચ એની પાસે આ કામ કરાવડાવ્યું હશે !

    આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઘરના વડીલો સાથે પણ જ્યારે-જ્યારે વાત થતી ત્યારે એમની આંખોની ચમક, એમની યાદોની તાજગી, એમના મોઢે એ ગીતોનો ગણગણાટ સાંભળી મનમાં થતું કે ચોક્કસ એ સમય રંગભૂમિનો સુવર્ણકાળ જ હશે !!!

    તમે મીરાંનાં ગીત ગાઓ, ગાલિબની ગઝલ સાંભળો કે ગરબાને ગળે લગાડો, છેવટે તો હૃદય સોંસરવું ઊતરે એ જ સર્જન સાચું. જેમ ગુજરાતી લોકસંગીત પછી અવિનાશ વ્યાસના સુગમસંગીતનાં ગીતો આખાય ગુજરાતમાં ગવાતાં રહ્યાં છે, એ જ રીતે ગીત તરીકે સાહિત્યિક ગુણવત્તા ગુમાવ્યા વગર ટકી શકે એવાં થોડાં ગીતો જૂની રંગભૂમિએ પણ આપ્યાં છે. એને સજાવવા પાછળ કરેલી કલાકારોની અથાગ મહેનતને લીધે એ જીવ્યાં. ચિરંજીવ બન્યાં. એની વય કેટલી ? એક-બે-ચાર મહેફિલ પૂરતી નહીં, સિત્તેર-એંસી અરે સો વર્ષ પછી પણ તરોતાજા ! હિતેન આનંદપરા લખે છે તેમ.

    એક મહેફિલ પૂરતી મહેનત નથી
    કાવ્યને પોતાની વય છે, લે કલમ!

    કેવા હશે એ ગીતકાર, સ્વરકાર કે જેમના શબ્દો, જેમના સૂર આજે પણ લીલાછમ છે!

    કોઈ ગીત એના શબ્દોને લીધે ગમી જાય, કોઈ એની સરળતાને લીધે, કોઈ એના સંગીતને લીધે તો કોઈ એની ગાયકીને લીધે. અહીં રજૂ થયેલાં ગીતો પૈકી કદાચ કોઈ ગીત થોડું અપરિચિત હશે, પરંતુ આ તમામ ગીતો અત્યંત મધુર અને ગમી જાય એવાં છે. ઘણાં ઉત્તમ ગીતો રહી પણ ગયાં હરો, કારણ આવાં તો સેંકડો ગીતો છે જૂની રંગભૂમિનાં, જે માણવાલાયક છે. આ તો પાશેરામાં પહેલી પૂણી છે. સો-સવાસો વર્ષનો જૂની રંગભૂમિનાં ગીતોનો ઇતિહાસ… એમાં પ્રગટતી સ્ત્રી-સંવેદનાની, લાગણીઓની તથા ગુજરાતી સમાજ, પરંપરા તથા સંસ્કૃતિની હજારો રંગ છટાઓ છે આ ગીતોમાં ! આ ગીતો સાંભળ્યાં ત્યારે અજાણપણે જ આ ગીતો સાથે એક ભાવસેતુ બંધાયો અને એણે મારી ચેતનામાં ઊંડે સુધી પ્રભાવ જન્માવ્યો હશે એવું મને લાગે છે, નહીંતર મારો અને નાટકનો વળી શો સંબંધ ? હા, સંબંધ માત્ર એટલો જ કે હું નાટક કે અન્ય કલા સાથે હોઉં છું ત્યારે હું મારી જાત સાથે હોઉં એવો અહેસાસ મને ઘણી વાર થાય છે. આ જ અસ્તિત્વનો આનંદ છે એમ મોડે-મોડે પણ સમજાવા લાગ્યું છે.

    સો-સવાસો વર્ષ સુધી ગુજરાતના કલારસિક પ્રેક્ષકોને કલાના રસાનુભવનો આનંદ કરાવીને રંગભૂમિએ રંગ રાખ્યો છે. ગુજરાતી રંગભૂમિએ પોતાનાં નાટકો દ્વારા પ્રજાને જે ઉત્સાહ અને પ્રેરણા આપી છે તે ખરેખર સ્તુત્ય છે. એ નાટકોમાં ગીત, સંગીત, પ્રહસન (કૉમેડી), નૃત્યો આજે જેને આપણે “ટોટલ થિયેટર’ કહીએ છીએ તે બધાં જ તત્ત્વો હતાં. એનો વિષય-વિસ્તાર તો વિરાટ સાગર જેવો છે, તેને ઉલેચવો દુર્ગમ છે. ગાગરમાં સાગર સમાવવા જેવું આ દુઃસાધ્ય કાર્ય ગણી શકાય. આ તો મહાસાગર છે. અહીં તો માત્ર મહાસાગરની એક નાનકડી છાલક જ છે.

    જૂની રંગભૂમિ – એમાં જે તન્મયતા, લાલિત્ય, શિષ્ટતા, વિશિષ્ટતા અને જે ભાવાભિનય દેખાતાં હતાં તે અજોડ હતાં. સંઘર્ષો છતાંય ગુજરાતી રંગભૂમિને ટકાવી રાખનારા એ તમામ કલાકારો અને પ્રેક્ષકોને તમે પણ મારી સાથે સલામ મારો એ માટે મારું ઇજન છે. પ્રજાજીવનને સંસ્કારવામાં, સુધારવામાં, શિષ્ટ મનોરંજન પૂરું પાડવામાં કેટલીય શક્તિશાળી નાટકમંડળીઓ, કેટલાય ખ્યાતનામ નાટયલેખકો, કુશળ કલાકારો, કવિઓ, કસબીઓએ કોઈ કસર બાકી રાખી નથી. એની નોંધ તો લેવાવી જ જોઈએ.

    “ગુજરાતી રંગભૂમિ’ ઉપર અનેક શ્રદ્ધેય પુસ્તકો લખાઈ ચૂક્યાં છે અને હું આ વિષયની કોઈ તજજ્ઞ નથી એટલે સંભવ છે કે ક્યાંક કદાચ કોઈ ત્રુટિ રહી ગઈ હોય, તેને મારી મર્યાદા ગણી ક્ષમ્ય કરશો. અહીં રજૂ થયેલી વાતોને વાચકો જે-તે સમય અને પરિસ્થિતિના સંદર્ભમાં જાણશે – સમજશે એવી આશા રાખું છું.

    રંગભૂમિની નાટચસંપદા અને ગીતસંપદાનું અનેરું મહત્ત્વ છે. નવી પેઢી પણ આ ગીતમાધુર્યથી વંચિત ન રહી જાય તો સારું. સર્વ સુધી એની મહત્તા અને સંવેદનશીલતા વિસ્તરો એ જ અભ્યર્થના.

    કલાદેવીની કુપા આપણા સૌ ઉપર હો અને આપણે બધાં કલા થકી વધુ ઊજળાં બનીએ એવી ભાવના સાથે વિરમું છું.

    આમાંનાં ઘણાં ગીતો સોશિયલ મીડિયા પર પણ મળી જશે. સમય ફાળવીને જરૂર સાંભળજો.

    તેમના આ શોખને તેમણે જે વ્યવસ્થિત રૂપે દસ્તાવેજ કર્યો તેના પરિપાક રૂપે તેમણે જૂની રંગભૂમિનાં ગીતોને ઉજાગર કરતું પુસ્તક “જૂની રંગભૂમિના લોકપ્રિય ગીતો” આપ્યું. આ ઉપરાંત તેમણે ‘ગુજરાતી કથાગીતો’ પરનું પુસ્તક લખ્યું છે અને ‘વહાલનું અક્ષયપાત્ર’ પુસ્તકમાં હરેશભાઈ ધોળકિયા વિશે તેમનાં સ્વજનો, મિત્રો, સમકાલીનો અને સાહિત્યકારો વગેરે એ જે સંસ્મરણો લખ્યાં તેનું સંકલન કર્યું છે.

    “જૂની રંગભૂમિની રોમાંચક દુનિયા “ વિશે જીનાબહેને ગુજરાતી વિશ્વકોષની ભગિની સંસ્થા ‘વિશ્વા’ના ઉપક્રમે તાજેતરમાં એક વ્યાખ્યાન પણ કર્યું જે અહીં જોઈ / સાંભળી શકાશે:

    “જૂની રંગભૂમિની રોમાંચક દુનિયા” પુસ્તકને પ્રકરણ ક્રમાનુસાર  વેબ ગુર્જરી પર પ્રકાશિત કરવાની સહમતી આપવા બદલ વેબ ગુર્જરી સુશ્રી જીનાબહેન શેઠનો હાર્દિક આભાર માને છે.


    પ્રસ્તુત લેખમાળા જૂન ૨૦૨૬ થી દર મહિને બીજા સોમવારે વેબ ગુર્જરી પર પ્રકાશિત કરવાનું આયોજન છે.


    સુશ્રી જીનાબેન શેઠનો સંપર્ક આ વિજાણુ સરનામે થઈ શકે છેઃ jeenavsheth@gmail.com

  • એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૧૧ મું. – અમેરિકાની દીલસોજી.

    પ્રકરણ ૧૦મું. : વેદનાની મીઠાશ થી આગળ

    ઝવેરચંદ મેઘાણી

    સુવોન નગરને સ્ટેશને ઉતરીને એક અમેરીકાવાસી બાઈસીકલ ઉપર ચાલ્યો જતો હતો. થોડે દૂરના એક ગામડામાંજ એને જવું હતું, છતાં એ પ્રવાસી છૂપાતો છૂપાતો પહાડોની પ્રદક્ષિણા ફરીને જતો હતો. એને ખબર હતી કે સીધે રસ્તે જાપાની પહેરગીરોનું થાણું છે, સિપાહીઓ એને આગળ જવા નહિ આપે.

    ઘણા ગાઉનો ઘેરાવો ખાઇને એ મુસાફર એક ગામડામાં દાખલ થયો. લોકોને એ પૂછવા લાગ્યો કે “આંહી આગ લાગી હતી ને ?” થરથરતાં ગામલોકોએ એક ઉદ્‌ગાર પણ ન કાઢ્યો. પ્રવાસી સમજી ગયો. ગામમાં સરકારી અમલદારો હાજર હતા.

    સરકારી અમલદારો સીધાવ્યા પછી લોકોએ આવીને મુસાફરને વાતો કરી.

    ૧૫ મી તારીખે બપોરે સોલ્જરો ગામમાં આવેલા. હુકમ કાઢ્યો કે “દેવાલયમાં હાજર થાઓ, ભાષણ દેવું છે.” ઓગણત્રીસ ખ્રીસ્તીઓ દેવાલયમાં ગયા, ને દિગ્મૂઢ બની બેઠા. પલવારમાં તો સોલ્જરો દેવાલયને વીંટળાઈ વળ્યા, બારીઓમાંથી બંદુકો છોડી; શ્રોતાજનો મરાયા, ઘવાયા, ત્યાં તો સોલ્જરોએ દેવળને આગ લગાડી. બહાર નીકળવા દોડનારાને સંગીનથી વીંધ્યા. ગોળીબાર સાંભળીને બે શ્રોતાઓની સ્ત્રીઓ તપાસ કરવા આવી. ગાળીઓના વરસાદમાં થઈને દેવાલયમાં જવા લાગી, ત્યાં તો બન્નેને સોલ્જરોએ કાપી નાખી. પછી સોલ્જરો ગામને આગ લગાડીને ચાલી નીકળ્યા.

    બીજા એક ગામડામાં લોકોએ સ્વાધીનતાની ચીસ પાડી છપ્પન લોકોને પોલીસ થાણામાં બોલાવવામાં આવ્યા. દરવાજા બંધ કરીને દિવાલ ઉપરથી સિપાહીઓએ ગોળીઓ છોડી. તમામ લોકોના પ્રાણ ઉડી ગયા.

    ત્રીજા એક ગામડાને આગ લગાડી સોલ્જરો ઉભા ઉભા એની જ્વાળાઓ જોઇ રહ્યા હતા. લોકો પોતાનાં ઘરબારની આગ બુઝાવવા દોડ્યાં. સોલ્જરોની ગોળી છુટી, સંગીનો ઘોંચાયાં, મારપીટ પડી. ગામવાસીઓ પણ પોતાના સુંદર ગામને સળગતું જોતાં જોતાં ઉભા રહ્યાં.

    ગામડે ગામડે આગ લાગે, માતાઓ સ્તનપર વળગેલાં બાળકોને લઈ ભાગે, પિતાઓ મોટાં છોકરાંને ઉપાડી ન્હાસે, પાછળ સોલ્જરોની ગોળીઓ છૂટતી આવે: આવાં તો કેટલાંયે ગામડાં ભસ્મીભૂત બની ગયાં. એનાં વર્ણનમાં કલ્પનાના રંગો નથી પૂરી શકાતા.

    એકાદ ઘર સળગતું જોયું છે ? એ સ્ત્રીઓની ચીસો, બચ્ચાંઓના આક્રંદ ને મરદોના હાકલ પડકારા કાને પડ્યાં છે ? ખાઉં ખાઉં કરતી જ્વાળાઓ આંહીંથી ત્યાં દોડતી, સંહાર કરતી નિહાળી છે ? સેંકડો લોકોની સહાય, અને સાંત્વન વચ્ચે પણ શી શી ભયાનકતા માત્ર એક ઘરની આગમાંથી ઉભી થાય છે ! ખ્યાલ કરો, કોરીયાની અંદર સરકાર આખાં ગામડાં ને ગામડાં સળગાવી મૂકે, બુઝાવવા જનારનો બંદુકે પ્રાણ કાઢી નાખે.

    અને આ બધો વિનાશ શું એ ચાર પાગલ બની ગએલા સોલ્જરોએ પોતાની મોજને ખાતર કરેલો ? જાપાની લશ્કરની સખ્ત દેખરેખમાં મગદૂર નથી એક પણ સૈનિકની કે પોતાની જવાબદારી ઉપર એ એક ગોળીબાર પણ કરી શકે. સેનાપતિઓના હુકમો હતા. સોલ્જરોની આખીને આખી ટુકડીઓ ફરતી હતી.

    પરદેશીઓએ એ ધ્વંસ નજરે નિહાળ્યો, ગવર્નરની પાસે પોકાર પહોંચાડ્યો, એ પાયમાલીની છબીઓ બતાવી ગવર્નરે દિલગીરી દર્શાવી ગુન્હેગારોને નશીયતે પહોંચાડવાનું વચન આપ્યું. એક પણ અપરાધીને સજા નથી થઈ. રે ! રૂખ્સદ તો નથી મળી, પણ પગારમાં કશો ઘટાડો યે નથી થયો !

    ત્યારે શું આ કૃત્યો કેવળ કોરીયાની સરકારનાં જ હતાં ? જાપાની પ્રજાનો જરાયે અપરાધ નહોતો ? એણે શું આ નિર્દોષ આશ્રિત પ્રજાના ધ્વંસ ઉપર કદી એક પણ આંસુ વરસાવ્યું છે ? ઇતિહાસ ના પાડે છે. જાપાનની પ્રજા આ બધી વિગત જાણતી હતી. કોઈ પણ પ્રજાજને આ જુલ્મ સામે આંગળી ઉંચી નથી કરી, તિરસ્કાર નથી પ્રગટ કર્યો. જાપાનની પ્રજા તો ‘મહત્ જાપાન’ નાં સ્વપ્નાં જોતી હતી !

    પરંતુ યુરોપી પરદેશીઓ તો ટોળાબંધ કોરીયામાં વસતા હતા. અમેરિકાવાસીઓનો હાહાકાર શું સામે કિનારે પોતાની ભૂમિમાં ન પહોંચ્યો ? આવા દારૂણ ધ્વંસની એક પણ કથની કાં કોઇએ પોતાને ઘેર ન લખી મોકલી ?

    કારણ એટલું જ કે ટપાલખાતું ને તારખાનું સરકારના હાથમાં હતું. પત્રવ્યવહાર ઉપર સજ્જડ ચોકી ગોઠવાઈ ગઈ હતી. એક પણ સમાચાર એ ચોકીદારોની નજર ચુકાવી કોરીયાના સીમાડા ન વટાવી શકે. અમેરિકામાં બેઠેલા કોરીયાવાસી પોતાને ઘેર કાગળો લખે એ સરકારી ચોકીદાર ફોડે; એ કાગળમાં સરકારના કારભારને લગતી લગારે હકીકત હોય તો એ કાગળના ધણીને સજા થાય. આની બેવડી અસર થાય. કોરીયાવાસી રાજ્યદ્વારી ખબરો લખતો અટકે, ને પરદેશથી એવા ખબર મેળવતો બંધ થાય. કોરીયામાં વસનારો અમેરિકાવાસી પોતાને દેશ જઈ જાપાની સરકારના સંબંધમાં કશુ ભાષણ કરે, કે લેખ લખે, તો કોરીયન કોન્સલ એ ભાષણ કે લેખ કોરીયા સરકારને મોકલે. પેલો અમેરિકાવાસી પાછો કોરીયામાં આવે એટલે એને કોરીયા છોડી જવાનો આદેશ મળે.

    ત્યારે અમેરીકાવાસીઓ કોરીયાની હાલત સંબધે કેવી માહીતી ધરાવતા ? એ માહીતી આપનાર કોણ ? એ માહીતી આપનાર સરકાર પોતે. શી રીતે ? પોતાનાં પક્ષનાં વર્તમાનપત્રો મારફત આંકડાશાસ્ત્રમાં કાબેલ બનેલી સરકાર, હકીકતો અને વિગતોને શણગારવામાં પ્રવીણ કોરીયન સરકાર શી શી અસરો ન કરી શકે ?

    પરદેશીઓ અંજાઈ જાય એવી એ ઈંદ્રજાળ હતી.

    એટલુંજ બસ ન હોય. જાપાન મનુષ્યસ્વભાવ જાણતું હતું. મનુષ્યના અંતરાત્માને–રે આખી ને આખી પ્રજાના અંતરાત્માને–ખરીદી લેવાની કળા જાપાને પશ્ચિમને ચરણે બેસી આબાદ કેળવી લીધેલી. સુલેહની પરિષદ્‌ને સમયે જાપાને યુરોપી રાજ્યોની અંદર એક કરોડ ડોલર (ચાર કરોડ રૂપીયા) છૂટે હાથે વેરી દીધેલા હતા. અત્યારે પણ અમેરિકાનું હૃદય હાથ રાખવા માટે જાપાન દર વરસે લાખો ડોલરો એટલે કરોડો રૂપીયા ખરચી રહ્યું છે. છાપાંઓ જાપાનની વાહવા પોકારે તેનો આ મર્મ છે. વક્તાઓ ઠેર ઠેર જાપાનની રાજનીતિનાં યશોગાન ગાય તેનો આ મર્મ છે. બીજી બાજુ જાપાનીઓ અમેરિકાની અંદર મોટાં મોટાં મંડળો ખોલે છે, વરસે વરસે મિજબાનીઓ ને મ્હેફિલો થાય છે. બબ્બે હજાર ઇજ્જતદાર અમેરિકાવાસીઓ એ મંડળના સભાસદો છે. મ્હેફીલનાં મેજ ઉપર પેટ ભરીને પછી દારૂની છલકતી પ્યાલીઓ ઉડાવતા ઉડાવતા અમેરિકાવાસીઓ ફીદા થઈને જાપાનની સ્તુતિ કરે છે.

    જાપાની અત્યાચારના બચાવનો એક નમુનો લઈએ. ૧૯૧૯ ની ઝુમ્બેશ સંબધે એક અમેરિકાવાસી લેખક અમેરિકામાં લખે છે કે “બદમાશોને ‘અમર રહો મા’ એવો ધ્વનિ કરવાના ત્રીશ ત્રીશ પૈસા મળે છે. ત્રીશ પૈસાને ખાતર આ બદમાશો ટોળે વળે, બૂમો પાડે, પોલીસ થાણાં ઉપર હલ્લો કરે, પત્થર ફેંકે, પછી તો જાપાની સૈનિકો સરખાં શાંત માણસોને પણ ખીજ તો ચડેજ ને !”

    બરાબર છે ! કોરીયાની બઝારમાં મનુષ્યનો જાન સસ્તે ભાવે મળી શકે છે ! પણ એટલો તો સસ્તો નહિજ, કે ત્રીશ પૈસાને ખાતર કોરીયાવાસી વીંધાઈ જવા કે કપાઈ જવા તૈયાર થઈ જાય !

    આખરે ઈન્દ્રજાળ ભેદાણી. કેટલાએક મીશનરીઓ રેલ્વેમાં બેસી છેક ચીનમાં પહોંચ્યા, ને ત્યાંથી પોતાને દેશ કાગળો રવાના કર્યા. અમેરિકાનાં વર્તમાનપત્રોમાં કોલાહલ ચાલ્યો. જાપાની અધિકારીઓએ ઘણા યે ખુલાસા ચોમેરથી બહાર પાડ્યા. પણ અમેરિકાવાસીને મન સંદેહ રહી ગયો. એક મંડળી કોરીયામાં આવવા તૈયાર થઈ. એ ઇસારો થતાં તો જાપાની સરકારનાં ભાડુતી વર્તમાનપત્રોએ બૂમરાણ મચાવ્યું કે “જાશો ના, જાશે ના, કોરીયામાં કોલેરા ચાલે છે.” પણ પેલી મંડળી માની નહિ. એટલે બીજી બૂમ પડી કે “ખબરદાર તમારી જીંદગી જોખમમાં છે. કોરીયામાં તમારા પ્રાણ લેવા એક કાવતરૂં રચાય છે.” પણ પેલા મહેમાનોનાં હૈયાં થડક્યાં નહિ. જાપાની સરકારે જણાવ્યું કે “તમે તો નહિ સમજો, પણ અમારા માનવંત મિજબાન તરીકે તમારૂં રક્ષણ કરવાની અમારી ફરજ છે. ફિકર નહિ; તમારી સાથે અમારી પોલીસ હાજર રહેશે. સાવધાન, પોલીસની સૂચનાને અનુસરજો, નહિ તો જોખમ છે.”

    મિજબાનોનું મંડળ આવી પહોંચવાનું હતું તે દિવસે સ્ટેશનથી ઉતારાના મુકામ સુધી રસ્તા પર સિપાહીઓ ઉભેલા કોરીયાવાસીઓ અમેરિકાના મિજબાનોને આવકાર દેવા હોંશે ભર્યા દોડ્યાં આવ્યાં.

    પોલીસે તલવાર કાઢી, નાદાનોને નસાડ્યાં. મહેમાનોની ગાડી ગામમાં નીકળી ત્યારે બન્ને બાજુ પોલીસ, અને રસ્તો સ્મશાન સમો નિર્જન ! મિજબાનો ચકિત થયા. ક્યાં હતો કોલેરા ? ક્યાં ગયું પેલું કાવરૂં ?

    મહેમાનોએ હઠ પકડી કે અમારે તો દેશ જોવો છે. સરકાર કહે કે તમને લૂંટવા ને મારી નાખવા મોટી ટોળી ખડી થઈ છે. મહેમાનો કહે ફિકર નહિ. સરકાર સમજી કે ચોક્ખી ના નહિ પડાય. પણ એક ઇલાજ હતો. કોરીયાવાસીઓનેજ મહેમાનો પાસે આવવા ન દેવા !

    મહેમાનોને મ્હેફિલો પર મ્હેફિલોઅપાવા લાગી. સરકારી નિશાળો, કચેરીઓ, અદાલતો, બતાવવામાં આવ્યાં. મહેમાનો મહેમાનીમાંજ તલ્લીન બન્યા. મિષ્ટાન્ને કોનું મ્હોં નથી ભાંગી નાખ્યું ?

    આખી મંડળીમાં એક માણસ મક્કમ રહ્યો. એણે તો હઠ પકડી કે મ્હારે આ દેશવાસીઓને જોવાં છે. એણે જણાવ્યું કે હું એકલોજ આથડીશ. મારી સાથે પોલીસ નહિ. એણે એક સભા ભરી. મંડપમાં મેદની માતી નથી. મહેમાનનું ભાષણ બધાં તલ્લીન બની સાંભળે છે. ત્યાં તો સોલ્જરોનાં સંગીનો ઝબૂક્યાં. શ્રોતાજનોની ધરપકડ ચાલી. મહેમાનને કહેવામાં આવ્યું કે કૃપા કરી ચાલ્યા જાઓ.” મહેમાને આંખો ફાડી જણાવ્યું કે “પહેલી બેડી મને પહેરાવો. પછી જ આ નિર્દોષ મંડળીને તમે આંહીથી લઈ જઈ શકશે.” એકજ આદમીની મક્કમતા ! સેના શરમાઈને ચાલી ગઈ.

    આ એક મિજબાનના મનમાં એવો તિરસ્કાર, એવો કોપ વ્યાપી ગયો કે એણે પોતાની મંડળીનો સંગાથ છોડ્યો, એકાકી એ આખા કોરીયામાં રખડ્યો. અમેરિકામાં જઈને એણે આખું ભોપાળું એના નગ્ન સ્વરૂપમાં રજુ કર્યું.

    એ મંડળીના નિવાસ દરમ્યાન સરકાર શુ કર્યા કરતી હતી ? તારો પર તારો છૂટતા હતા કે મહેમાનો વિરૂદ્ધ કાવતરૂં ચાલે છે, મહેમાનોની ગાડીને પટકવા માટે પાટા ઉખેડી નાખેલા છે, બોમ્બ છૂટવાની તૈયારી છે.

    અમેરિકામાં પાછાં આવતાં એક પણ મુસાફરે આ રેલગાડીના અકસ્માત, કાવતરાં કે બોમ્બ વિષે એક ઉચ્ચાર, સરખો યે નથી કર્યો. ઉલ્ટું મિજબાનોએ ઠેર ઠેર જણાવ્યું કે એ રમણીય ભૂમિનાં લોકો-પુરૂષો, સ્ત્રીઓ ને બચ્ચાંઓ, -સ્ટેશને સ્ટેશને આઘે ઉભાં ઊભાં અમારી સામે દયામણી આંખે નિહાળી રહ્યાં હતાં. ક્વચિત કવચિત એ હર્ષનાદ કરતાં હતાં, પણ ઘણું ખરું તો એ ચુપચાપ ઉભાં રહેતાં. એની ચુપકીદીમાં અમે એનાં હૈયાં વાંચી શકતા. એના પ્રાણ પરદેશી સત્તાની સામે પોકારતા હતા.

    આવતા અંકેઃ પ્રકરણ ૧૨ મું – ભીષણ સૌંદર્ય.


    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • મારી પથ્થરની કાયામાં | સાહેબ મારા મેલા કપડાં ધૂએ

    મારી પથ્થરની કાયામાં 

    અનિલ જોશી 

    મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે

    પાલવમાં આળખેલા ફૂલને સુગંધ ફૂટી
    પગલીથી ચિતરાયાં ફળિયાં.
    રમકડાંના મોરલા ગહેક્યા કરે
    ને ઊડ્યાં વાદળાં બનીને મારાં નળિયાં.
    મારા કમખામાં ચોમાસું એવું બેઠું
    કે હવે સહરાના કાંઠાયે છલકે.

    મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે


    પંખા ઉપર કોઈ માળો ન બાંધશો,
    પંખો ફરશે ને વિખરાશે.
    રમકડાંના મોરલા ગહેકશે નહીં
    અને ફળિયામાં પગલી ખોવાશે.
    મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ
    એનાં પાંદડાંઓ ડાળમાંથી સરકે.

    મારી પથ્થરની કાયામાં વેલીનાં પાંદડાં ફરકે



    સાહેબ મારા મેલા કપડાં ધૂએ

    – સુરેન ઠાકર ‘મેહુલ’

    સાહેબ મારા મેલા કપડાં ધૂએ
    તરવેણીને તીર ઊભો ઈ
    આજુબાજુ ના જુએ.

    મેલ ભરાયો અગમ ખૂણે ઈ
    ધોતાં ધોતાં રૂએ.
    ટીપે ટીપે અડસઠ તીરથ
    અનરાધારે ચૂએ… સાહેબ

    ફાટ્યું વસ્તરમરમી મારો
    તન તોડીને તૂને.
    તપના તાપે સૂકવી વ્હાલો
    નચંત થઈને સૂવે… સાહેબ

    સોનલવરણી સાંજ ઢળે ને
    ઝાલર ટાણે ઝગે.
    સુમિરન કરતાં સત-ચિત્ત-આનંદ
    હોનાર હોય સો હુએ… સાહેબ..

  • કર્મયોગી (૧૯૭૮)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી


    ‘૧૯૭૮’માં રજૂઆત પામેલી, એ.આર.પ્રોડક્‍શન્સ નિર્મિત, રામ મહેશ્વરી દિગ્દર્શીત ‘કર્મયોગી’માં રાજકુમાર (બેવડી ભૂમિકામાં), માલાસિંહા, જિતેન્દ્ર, રેખા, રીનારોય, અજિત, યોગીતાબાલી જેવા મુખ્ય કલાકારો હતા. આ ફિલ્મનાં કુલ પાંચ ગીતો હતાં, જેના ગીતકાર હતા વર્મા મલિક, અને તેને સંગીતબદ્ધ કર્યાં હતાં કલ્યાણજી-આણંદજીએ.

    ઈક બાત કહૂં મૈં સજના‘ (લતા), ‘મુહોબ્બત હૂં, હકીકત હૂં, જવાની હૂં‘ (આશા), ‘આઈયે હુજુર બૈઠિયે‘ (આશા), અને એક કવ્વાલી ‘તુમ નહીં યા હમ નહીં‘ (આશા, રફી, કિશોર અને સાથીઓ). આ ઉપરાંત ‘તેરે જીવન કા હૈ કર્મોં સે નાતા’ ફિલ્મનું ટાઈટલ સોન્ગ હતું, જે મન્નાડેના સ્વરમાં હતું. આ ગીત ફિલ્મના મુખ્ય પાત્રની લાક્ષણિકતાઓને વર્ણવે છે, સાથે ગીતાનો ટૂંકસાર પણ જણાવે છે. ટાઈટલ દરમિયાન તેનો એક અંતરો વાગે છે, એ પછી વચ્ચે એનો એ જ અંતરો પુનરાવર્તિત થાય છે, અને એક નવો અંતરો વધુ એક વાર સાંભળી શકાય છે. નવાઈ લાગે એવી વાત એ છે કે ફિલ્મના અંતે એકાદ અંતરો અપેક્ષિત હતો, પણ ત્યાં એ મૂકાયો નથી.

    (વર્મા મલિક)

    આ ગીતના શબ્દો આવા છે:

    तेरे जीवन का है कर्मों से नाता
    तेरे जीवन का है कर्मों से नाता
    तू ही अपना भाग्यविधाता
    ओओओओओ

    जैसी लिखेगा कर्मों की रेखा
    जैसी लिखेगा तू कर्मों की रेखा
    देना होगा तिल तिल का लेखा
    देना होगा तिल तिल का लेखा

    तेरे जीवन का है कर्मों से नाता
    आज तू जिसको अच्छा समझे
    जान ले उसका कल क्या है,
    कल क्या है
    सोच ले चलने से पहले तू
    उन राहों की मंजिल क्या है,
    मंजिल क्या है
    जो भी किया है आगे आता
    तू इतना भी सोच न पाता
    ओओओओओ

    जैसी लिखेगा कर्मों की रेखा
    जैसी लिखेगा तू कर्मों की रेखा
    देना होगा तिल तिल का लेखा
    देना होगा तिल तिल का लेखा
    तेरे जीवन का है कर्मों से नाता

    ફિલ્મનાં ટાઈટલ્સ અહીં પૂરાં થાય છે, જે આખી ફિલ્મની લીન્‍ક્માં નીચે ક્લિક કરીને 2.34 સુધી સાંભળી શકાશે.

    એ પછી એક વાર આ જ મુખડું અને અંતરો પુનરાવર્તિત થાય છે.

    અને ત્રીજી વાર આ ગીતનો એક અંતરો વાગે છે, જે આ મુજબ છે:

    सच की राह कांटों से भरी,
    दुख कदम कदम पे आता है
    जो दुख और सुख में एक रहे,
    वो ही कर्मयोगी कहलाता है
    ओ ओ ओ

    माना के काले कर्मों से
    तुझको खुशियाँ और सुख मिलता है,
    खुशियाँ और सुख मिलता है
    आसमां को छूने वाले
    ये कितने दिन चलता है,
    ये कितने दिन चलता है
    काहे रेत के महल बनाता,
    झुठे बल से तू क्युं इतराता
    ओओओओ

    जैसी लिखेगा कर्मो की रेखा
    जैसी लिखेगा कर्मो की रेखा
    देना होगा तिल तिल का लेखा
    देना होगा तिल तिल का लेखा
    तेरे जीवन का है कर्मों से नाता
    तू ही अपना भाग्य विधाता
    जैसी लिखेगा कर्मों की रेखा
    जैसी लिखेगा कर्मों की रेखा
    देना होगा तिल तिल का लेखा
    देना होगा तिल तिल का लेखा
    देना होगा तिल तिल का लेखा
    देना होगा तिल तिल का लेखा.
    ओओओओ

    આટલો ભાગ નીચેની લિન્‍ક પર 33.26 સુધી સાંભળી શકાશે.

    जैसी करनी वैसी भरनी
    ये तो एक सच्चाई है
    ये तो एक सच्चाई है
    देख ले तू तेरी करनी,
    तेरे आगे आई है,
    तेरे आगे आई है,
    जो है करता, वो ही पाता,
    कोई किसी के साथ न जाता,
    ओओओओ

    जैसी लिखेगा तू कर्मो की रेखा
    देना होगा तिल तिल का लेखा
    देना होगा तिल तिल का लेखा
    देना होगा तिल तिल का लेखा

    આટલો ભાગ નીચેની લિન્‍ક પર 1.07.15 સુધી સાંભળી શકાશે.

    ચોથી વાર આ ગીતનો અંતરો નાયકને ફાંસીના સમાચાર અખબારમાં આવે અને તેની પત્ની જુએ ત્યારે વાગે છે, અને એ સાથે આખું ગીત પૂરું થાય છે. ચોથો અંતરો આ મુજબ છે:

    खुशी लूटी, घरबार गया,
    छूटा जीवन का साथी,
    दुनिया के मालिक ये तो बता,
    अब कौन सी परीक्षा है बाकी…

    અંતરાનો આ ભાગ નાયિકાને લાગુ પડે છે, આથી અહીં ‘તેરે જીવન કા હૈ કર્મોં સે નાતા’વાળું મુખડું નથી.

    ગીતનો આટલો ભાગ આ લીન્‍ક પર 1.10.24 સુધી સાંભળી શકાશે.


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • એક કલાકાર : ગાયકો એકથી વધુ [૭] : સાધના

    નિરંજન મહેતા

    સાધના એક ઉત્તમ અદાકારા હતી. લગભગ તેની બધી ફિલ્મો સફળ રહી અને તે ફિલ્મોના મોટા ભાગના ગીતો પણ આજે ગવાય છે અને તેનો આનંદ લેવાય છે. પરંતુ મોટા ભાગની ફિલ્મોમાં તેને માટે એક જ ગાયિકાએ સ્વર આપ્યો છે, કાં તો લતાજી અને કાં તો આશા ભોસલે. તેં છતાં જે થોડી ફિલ્મોમાં એક કરતાં વધુ ગાયિકાઓએ સાધના માટે સ્વર આપ્યો છે તેનો આ લેખમાં ઉલ્લેખ કરૂં છું.

    સૌ પ્રથમ છે ૧૯૬૪ની ફિલ્મ ‘દુલ્હા દુલ્હન’ :

    मुझे कहते है
    मुझे कहते है कल्लू कव्वाल
    कल्लू कव्वाल
    कि तेरा मेरा तेरा मेरा साथ रहेगा
    मैं हूँ ठुमरी तो तू है ख़याल
    तू है ख़याल
    तेरा मेरा तेरा मेरा साथ रहेगा

    આગાની સતામણી કરતુ આ ગીત સાધના અને રાજકપૂર પર રચાયું છે. સ્વર છે સુધા મલ્હોત્રા અને મુકેશના. ગીતના શબ્દો છે ગુલશન બાવરાનાં અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.

    આ ફિલ્મનું બીજું ગીત છે જે સાધના રાજકપૂરને ઉદ્દેશીને ગાય છે.

    हम ने तुझ को प्यार किया है जितना
    कौन करेगा इतना
    आँख चुराई ठेस लगाई दिल भी तूने तोड़ा
    लाख छुपाया तूने दामन हम ने साथ न छोड़ा
    तेरे करम को तेरे सितम को सहते रहें हम जितना

    ગાયિકા લતાંજી. ઇન્દીવરના શબ્દોને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.

    ૧૯૬૪ની ફિલ્મ ‘રાજકુમાર’નું ગીત સાધના અને શમ્મીકપૂર પર રચાયું છે.

    तुम ने पुकारा और हम चले आए
    दिल हथेली पर ले आए रे
    तुम ने पुकारा और हम चले आए
    जान हथेली पर ले आए रे

    રફીસાહેબ અને સુમન કલ્યાણપુર ગીતના ગાયકો. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીતકાર છે શંકર જયકિસન.

    આ ફિલ્મનું બીજું ગીત છે જેમાં સાધના શામ્મીકપુરને ઉદ્દેશીને કહે છે

    आ जा आई बहार दिल है बेक़रार
    ओ मेरे राजकुमार तेरे बिन रहा न जाए
    आ जा आई बहार दिल है बेक़रार
    ओ मेरे राजकुमार तेरे बिन रहा न जाए

    ગાયિકા લતાજી. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને.

    આ જ ફિલ્મમાં હજી એક ગીત છે જેને માટે ત્રીજી ગાયિકાનો સ્વર લેવાયો છે.

    दिलरुबा दिल पे तू ये सितम किये जा किये जा
    हम भी तो आग में जलते रहे
    प्यार के शोलों पे चलते रहे हो

    આ ગીતના ગાયિકા છે આશા ભોસલે. શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત આપ્યું છે શંકર જયકિસને.

    ૧૯૬૬ની અત્યંત પ્રચલિત ફિલ્મ ‘મેરા સાયા’નાં ગીતો છે

    तू जहाँ जहाँ चलेगा
    मेरा साया साथ होगा

    આ ગીત સુનીલ દત્તને ઉદ્દેશીને ગવાયું છે જેના ગાયિકા છે લતાજી.

    https://youtu.be/fMz1FovSyVw?list=RDfMz1FovSyVw

    તો બીજું ગીત એક નૃત્યગીત છે જે સાધના રસ્તા વચ્ચે કરે છે.

    झुमका गिरा रे हाय
    झुमका गिरा रे
    बरेली के बाजार में

    આશા ભોસલેનો સ્વર.

    https://youtu.be/UscktZOMGJY?list=RDUscktZOMGJY

    બંને ગીતોના શબ્દકાર છે રાજા મહેંદી અલી ખાન અને સંગીતકાર છે મદન મોહન.

    ૧૯૭૪ની ફિલ્મ ‘ગીતા મેરા નામ’નું આ ગીત એક ક્લબમાં સાધના પર અત્યાચાર કરાય છે ત્યારે ગવાયું છે.

    हा मुझे मार डालो मई मार जौंगी
    मरते मरते ये साबित कर जौंगीके
    ज़िंदगी भी मौत है मौत भी है ज़िंदगी

    ગાયિકા છે આશા ભોસલે.

    https://youtu.be/tOuoeH4PyfY?list=RDtOuoeH4PyfY

    બીજું ગીત સુનીલ દત્તને ઉદ્દેશીને ગવાયું છે.

    सुनिए ज़रा देखिये ना
    हम आपकी दीवार के साये में बैठे है

    ગીતના ગાયિકા છે લતાજી.

    https://youtu.be/kVJ-lS_IpkU?list=RDkVJ-lS_IpkU

    બંને ગીતના રચયિતા રાજીન્દર કૃષ્ણ અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

    તેમની જાણીતી ફિલ્મો ‘વો કૌન થી’, ‘અનિતા’, ‘પરખ’ વગેરેમાં અગાઉ જણાવ્યું તેમ એક જ ગાયિકાના સ્વરનો ઉપયોગ થયો છે એટલે તે ફિલ્મોના ગીતોનો ઉલ્લેખ આ લેખમાં નથી.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ‘માતૃ દિવસ’ માટે ખાસ – મા અને સંતાનનાં રેખાચિત્રો

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shahh’s Kalasampoot – Mother’s Day special, sketches on Mother- Child.

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ – સલમાન રશ્દીનું પોર્ટ્રેટ

    બીરેન કોઠારી

    ભૂપેન ખખ્ખરે ચીતરેલાં મર્યાદિત પોર્ટ્રેટમાંનું એક સલમાન રશ્દીનું છે. રશ્દીનું આ પોર્ટ્રેટ ચીતરવાનું કામ ભૂપેનને શી રીતે સોંપાયું એ કથા પણ રસપ્રદ છે. અહીં એ લોભ ટાળીને માત્ર ને માત્ર પોર્ટ્રેટકેન્દ્રી વાત કરીએ.

    સલમાન રશ્દીના પોર્ટ્રેટનું શિર્ષક છે The Moor/ ધ મૂર. યુરોપીય લોકો સામાન્ય રીતે મુસ્લિમો માટે આ શબ્દપ્રયોગ કરતા હોય છે. આનો સંદર્ભ હતો સલમાન રશ્દીની નવલકથા The Moor’s last sigh.

    રશ્દીનું આ પોર્ટ્રેઈટ ભૂપેને અસલ ભારતીય રજવાડી શૈલીમાં ચીતર્યું, જેમાં તેમને પારદર્શક નાયલોન શર્ટ પહેરેલા બતાવ્યા. ભૂપેને ચારકોલ વડે ચહેરાની રેખા ચીતરવાની શરૂ કરી અને રશ્દીના ચહેરાનો આકાર ઉપસવા લાગ્યો. ચિત્ર તૈયાર થયું ત્યારે રશ્દી ચીતરાયેલા હતા, પણ તેમનું ચિત્રણ તેમની નવલકથામાંના મૂરના પાત્ર જેવું જણાતું હતું. આમ વિષય અને પાત્ર પરસ્પર એકરૂપ બની ગયા હતા. ભૂપેને કહેલું: ‘તમને બન્નેને ચીતર્યા છે. તમને મૂર તરીકે અને મૂરને તમારી જેમ.’ સલમાન રશ્દીના પોર્ટ્રેટનું શિર્ષક ભૂપેને ‘ધ મૂર/The Moor’ રાખ્યું. રશ્દીની આસપાસ તેમની નવલકથાનાં પાત્રો અને ઘટનાઓ ચીતરાયેલાં છે. ચિત્રની પૃષ્ઠભૂમિ લઘુચિત્રની શૈલીમાં ચીતરાયેલી છે. સલમાન રશ્દીનો ચહેરો પિક્ચર પરફેક્ટ નથી જણાતો, તેમાં એનેટોમીનું પ્રમાણ નથી જળવાયું, છતાં તેમાં સલમાન રશ્દીપણું ઝળકે છે. ચિત્રમાં કાળા રંગનો ઉપયોગ પણ વધુ પ્રમાણમાં થયો છે.

    પણ આ ચિત્રની કથા આટલી નથી. રશ્દીએ આ પોર્ટ્રેટના સિટીંગ દરમિયાન ભૂપેનને એક સત્યઘટના જણાવેલી, જે આ મુજબ હતી.

    રશ્દીનો જન્મ મુંબઈ ખાતે થયેલો. તેમનો જન્મ થતાં અગાઉ તેમનાં માતાપિતાએ મુંબઈના એક ચિત્રકાર પાસે બાળકોને ગમે એ રીતનાં થોડાં ચિત્રો દોરાવડાવ્યાં. આ ચિત્રકાર હતા કૃષ્ણ ખન્ના, જે આગળ જતાં ખૂબ નામ કમાયા. એ સમયે તે સંઘર્ષરત કલાકાર હતા. બીજાં ચિત્રોની સાથે કૃષ્ણ ખન્નાએ સલમાનની માતાનું પણ ચિત્ર દોર્યું. અલબત્ત, એ વખતે હજી સલમાનનો જન્મ થયો ન હતો. સલમાનના પિતાને આ ચિત્ર પસંદ ન આવ્યું. આથી તેમણે એ ચિત્ર ખરીદવાનો ઈન્કાર કરી દીધો. આ કેન્વાસને ખન્નાએ પોતાના એક ચિત્રકાર મિત્ર એમ.એફ.હુસેનના સ્ટુડિયોમાં મૂક્યો. હુસેને એક વખત આ ચિત્રની ઉપર જ નવું ચિત્ર ચીતર્યું. કેન્વાસ પર આ શક્ય છે. એ નવું ચિત્ર વેચાઈ પણ ગયું.

    વરસો પછી સલમાન રશ્દીને આ બાબતની જાણ થઈ. બી.બી.સી.એ હુસેન પાસેથી એ ચિત્રના સગડ મેળવવાના પ્રયત્નો આદર્યા. બી.બી.સી.ની ટીમે હુસેનનો સંપર્ક કર્યો ત્યારે હુસેને આવી કોઈ ઘટના બની હોવાનો ઈન્કાર કરી દીધો અને ચિત્રનો અતોપતો જણાવવાની સીધી ના પાડી દીધી. કૃષ્ણ ખન્નાએ આ જાણીને કહેલું: ‘પોતાના ચિત્રની તમામ વિગત હુસેન જાણતા હોય છે. પણ તેમને લાગ્યું હશે કે રશ્દીની માતાનું ચિત્ર મેળવવા માટે આ લોકો પોતાનું બનાવેલું ચિત્ર નષ્ટ કરી દેશે. તેમને એ બાબતે પણ અસુખ લાગ્યું હશે કે આ લોકો કૃષ્ણ ખન્નાના ચિત્રની પાછળ પડી ગયા છે અને પોતાના ચિત્રની કશી પડી નથી.’ ખન્નાના આરંભિક કાળનું આ કાર્ય હોવાથી રશ્દીના પિતાનો નિર્ણય સાચો હશે, અને એ ચિત્ર આબેહૂબ નહીં, પણ સૂચક હશે એમ માનીને આખરે સૌએ મન મનાવવું પડ્યું.

    રશ્દીની માતાના ચિત્રની ઉપર દોરાયેલા ચિત્રની વાત ભૂપેનના દિલમાં ઊતરી ગઈ. તેમણે રશ્દીનું પોર્ટ્રેટ એ રીતે ચીતર્યું કે વિષય (રશ્દી) અને પાત્ર (મૂર) એકમેકની ઉપર આવે. આ રીતે તેમણે પેલા ખોવાયેલા ચિત્ર પર બનાવાયેલા ચિત્રવાળા પ્રસંગનું સાટું વાળતા હોય એમ યુક્તિપૂર્વક એ વાત પોર્ટ્રેટમાં વણી લીધી.

    આ ઉપરાંત આ નવલકથાની કથનશૈલીમાં પણ જાણે કે આવી બાબત પ્રતિબિંબિત થતી હતી. તેમાં ઈતિહાસ અને કલ્પનાના તાણાવાણા એ રીતે ગૂંથવામાં આવ્યા હતા, જાણે કે એક શબ્દની નીચે બીજો શબ્દ છુપાયેલો હોય. વાત કોઈક કાલ્પનિક પાત્રની હોય, પણ તેનો સંદર્ભ ઈતિહાસના કોઈક પાત્ર સાથે હોય.

    એટલે કે નજર સામેના એક પાત્રની પાછળ ભૂતકાળનું કોઈ પાત્ર છુપાયેલું હોય.

    સલમાન રશ્દીનું ભૂપેને તૈયાર કરેલું આ પોર્ટ્રેટ લંડનની નેશનલ પોર્ટ્રેઈટ ગેલેરીમાં મૂકાયું, અને ભૂપેન એવા પહેલવહેલા ભારતીય ચિત્રકાર બન્યા, જેમનું ચિત્ર અહીં પ્રદર્શિત થયું હોય. આ નવલકથામાં રશ્દીએ ભૂપેનની ઢબછબ ધરાવતા એક હિસાબનીશનું પાત્ર આલેખ્યું હતું.

    (સલમાન રશ્દીના પોર્ટ્રેટ માટેનું રેખાંકન)
    ( સલમાન રશ્દીનું ભૂપેને તૈયાર કરેલું પોર્ટ્રેટ ‘ધ મૂર)

    [ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી  સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

     

     

  • એમને માફ ન થાય! તેઓ શું કરે છે એની એમને જાણ છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    વર્તમાન સમયમાં કોઈ પણ નશીલા દ્રવ્ય કરતાં વધુ ગંભીર વ્યસન હોય તો એ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોનું છે. આ વ્યસનને લઈને વ્યક્તિ એકચિત્તે બેસી શકતી નથી કે કોઈ પણ બાબત પર એકધ્યાન થઈ શકતી નથી. હવે આ બધી સવલતો ફોનમાં સુલભ હોવાથી થોડી થોડી મિનીટે ફોન જોવાનું વલણ દરેક વયની વ્યક્તિઓમાં વળગણની જેમ વ્યાપેલું જોવા મળે છે. આટલા ટૂંકા સમયમાં આ માધ્યમોનું આવું વ્યસન લાગુ પડી જવા પાછળનું કારણ શું?

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    આ સવાલના જવાબ માટે થોડા સમય પહેલાં અમેરિકાની બે અદાલત દ્વારા અપાયેલા ચુકાદા જાણવા જેવા છે. એક ચુકાદો લોસ એન્‍જેલિસની અદાલતે આપ્યો છે, અને બીજો ન્યુ મેક્સિકોની અદાલતે. લોસ એન્‍જેલિસની જ્યુરીએ ‘મેટા’ અને ‘યુ ટ્યૂબ’ને સાઠ લાખ ડોલર ફરિયાદીને થયેલા નુકસાન પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે, તો ન્યુ મેક્સિકોની જ્યુરીએ ‘મેટા’ને ૩૭.૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે. ‘મેટા’ કંપની ફેસબુક, ઈન્‍સ્ટાગ્રામ, વોટ્સેપ અને મેસેન્‍જર જેવાં માધ્યમો ધરાવે છે. આવી જંગી રકમ ચૂકવવાનો આદેશ જ્યુરીએ કરવો પડે એ મામલો શો છે?

    લોસ એન્‍જેલિસવાળા કિસ્સામાં ફરિયાદી એક મહિલા છે, જેની ઓળખ તેના પ્રથમાક્ષરો ‘કે.જી.એમ.’થી કરાઈ છે. આ મહિલાએ જણાવ્યું કે પોતે છ વર્ષની વયથી સામાજિક માધ્યમોનો ઊપયોગ શરૂ કરી દીધેલો. પોતાના દેખાવ બાબતે ભ્રમિત થઈને તેણે ‘ઈન્‍સ્ટાગ્રામ’ પર વિવિધ પ્રકારનાં ‘બ્યુટી ફિલ્ટર્સ’નો ઊપયોગ શરૂ કર્યો. જ્યુરીને તપાસમાં જણાયું કે કમ્પનીના અધિકારીઓ તેમાં સંડોવાયેલા જોખમ વિશે જાણતા હતા. લઘુત્તમ વયમર્યાદાનો કાનૂન હોવા છતાં આ પ્લેટફોર્મ પરની સામગ્રી એવી રીતે તૈયાર કરાયેલી કે બાળકો તેનાથી આકર્ષાય. મહિલાના આક્ષેપો સાચા માલૂમ પડ્યા અને જણાયું કે બન્ને કમ્પનીઓએ જાહેર સ્વાસ્થ્ય અને જનકલ્યાણના ભોગે પોતાની પહોંચ વધારવા માટે કાનૂની તેમજ નૈતિક નિયમનનો ભંગ કર્યો છે.

    ન્યુ મેક્સિકોવાળો મામલો વધુ ગંભીર છે. આ રાજ્યમાં અમલી એવા ‘અનફેર પ્રેકટિસીસ એક્ટ’નું ઉલ્લંઘન કરીને ‘મેટા’એ યુવા વપરાશકર્તાઓની સલામતિ બાબતે તેમને ગેરમાર્ગે દોર્યા હોવાનું પુરવાર થયું છે. સાત સપ્તાહ સુધી ચાલેલા આ ખટલામાં ‘મેટા’ના આંતરિક દસ્તાવેજો તેમજ તેના ભૂતપૂર્વ કર્મચારીઓની રજૂઆત થકી શું જાણવા મળ્યું? એ જ કે બાળકોનો દુરુપયોગ કરનારાં તત્ત્વો પોતાના માધ્યમનો ઊપયોગ કરી રહ્યાં હોવાની કમ્પનીને જાણ હતી. ૨૦૨૧માં આ કમ્પની છોડનાર એક ઈજનેરે જુબાની આપતાં જણાવ્યું કે પોતે કરેલા કેટલાક પ્રયોગોમાં બાળકોને ઈન્સ્ટાગ્રામ પર જાતીયતાને ઉત્તેજિત કરતી સામગ્રી પીરસાતી હતી એમ જણાયું. તેની ખુદની નાનકડી દીકરીને કોઈક અજાણ્યાએ ઈન્‍સ્ટાગ્રામ દ્વારા જાતીય સંબંધ માટે પ્રસ્તાવ મૂકેલો.

    રાજ્યના વકીલો ‘મેટા’નું આંતરિક સંશોધન રજૂ કરતાં જણાવ્યું કે એક તબક્કે ઈન્સ્ટાગ્રામના 16 ટકા વપરાશકર્તાઓએ એક જ અઠવાડિયામાં ફરિયાદ કરી હતી કે તેમને વણજોઈતી, અશ્લિલ કે જાતીય સામગ્રી દેખાડાયેલી. ‘મેટા’ની દલીલ હતી કે તેઓ વરસોથી આ સમસ્યાના ઊકેલ માટે બાથ ભીડી રહ્યા છે અને સગીરો માટે સલામતિ પૂરી પાડવાના પ્રયત્નો ચાલુ છે.

    આ બન્ને કમ્પનીઓનું કદ રાક્ષસી છે, અને તેમનું જોર પણ રાક્ષસી છે. એટલે હજી તેઓ આ મામલાને ઉપલી અદાલતમાં લઈ જશે. એ થાય ત્યારે ખરું, પણ અમેરિકન ન્યાયતંત્રે તેમનો આ રીતે કાન આમળ્યો એ બહુ સૂચક ઘટના છે. એમાંય ‘કે.જી.એમ.’ને ચૂકવવાના સાઠ લાખ ડોલરના ભાગ પાડતાં જણાવાયું છે કે એ પૈકીના ત્રીસ લાખ ડોલર ફરિયાદીને થયેલા નુકસાન પેટે છે, જ્યારે બીજા ત્રીસ લાખ દંડ પેટે છે, કેમ કે, આ બન્ને કમ્પનીઓએ પોતાનાં પ્લેટફોર્મનું સંચાલન બદઈરાદા, દમન અને છેતરપિંડીથી કર્યું છે.

    સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો એવો મંચ છે કે જેનો સદુપયોગ અને દુરુપયોગ બન્ને થઈ શકે. સદુપયોગના કિસ્સા ખાસ બહાર ન આવે અથવા ઓછા ચર્ચાય, પણ દુરુપયોગના કિસ્સા વધુ ચર્ચાય એ સ્વાભાવિક છે. સદુપયોગ કે દુરુપયોગનો આધાર આ માધ્યમના વપરાશકર્તા પર છે, પણ જે તે પ્લેટફોર્મ ખુદ તેના વપરાશકર્તાઓને પરોક્ષ રીતે, ખરેખર તો પ્રત્યક્ષ રીતે દુરુપયોગ માટે પ્રેરે એ ગંભીર બાબત છે. આવાં માધ્યમોનું આગમન નહીં, આક્રમણ થતું હોય છે અને તેની સારી કે ખરાબ અસરોનો ખ્યાલ આવે એ પહેલાં તે આધુનિક બનતું જતું હોય છે. તેની ગતિ સાથે તાલ મિલાવવાની લ્હાયમાં વપરાશકર્તા ક્યારે દુરુપયોગ તરફ સરકી જાય એનો તેને ખ્યાલ રહેતો નથી.

    અમેરિકામાં એક તરફ આ સ્થિતિ છે, તો બીજી તરફ ઘરઆંગણે આપણા દેશમાં આ માધ્યમો પર થતી રજૂઆતને અંકુશમાં લાવવાના પ્રયત્નો કાયદા દ્વારા કરાઈ રહ્યા છે. બન્નેમાં ફરક એટલો છે કે અમેરિકામાં માધ્યમોને અંકુશમાં રહેવાની વાત થઈ રહી છે, જ્યારે આપણે ત્યાં વપરાશકર્તાઓને નિયંત્રીત કરવાનો ઈરાદો છે. ભાગ્યે જ કોઈ સરકારને મુક્ત અભિવ્યક્તિ પસંદ આવતી હોય છે. એમાંય જે સરકારનું જોર અને છબિ જ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો થકી હોય એ આ જ માધ્યમનો ‘દુરુપયોગ’ બીજાઓ કરી જાય એ શી રીતે સાંખી શકે? ટેક્નોલોજી અને અત્યાધુનિક ઊપકરણોના વર્તમાન યુગમાં આવો પ્રતિબંધ લાદવાની ચેષ્ટા બાલીશ લાગે, પણ અસલામતિ અને ખુદની અસલિયતની જાણકારી ભલભલાં અનિષ્ટ કામ કરાવતી હોય છે. દમન સ્પ્રિંગ જેવું હોય છે. જેટલા જોરથી તે કરવામાં આવે એનાથી બમણા જોરથી તે ઉછળે. અભિવ્યક્તિનું કાયદા દ્વારા દમન આજે નહીં તો કાલે, એક સ્થાને નહીં તો બીજે ક્યાંક બમણાં જોરથી પ્રત્યાઘાત આપતું હોવાનો ઈતિહાસ સાક્ષી છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૩૦-૪– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • પનામા – નગર અને નિસર્ગનો દેશ : ૧

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    દક્ષિણ અમેરિકામાં આવેલા ગયાના દેશમાંથી હું પનામા દેશમાં ગઈ. વિમાન-મથકેથી હોટેલ પર લઈ જતી ટૅક્સીના કાળા કાચમાંથી મુખ્ય શહેર પનામા સિટીની ઊંચી ઇમારતોનો ઝાંખો ખ્યાલ આવતો હતો. એમનો અવાચક કરી દેતો આધુનિક દેખાવ પછીના દિવસથી આંખે ચઢતો રહેવાનો હતો.

    ઉત્તર અને દક્ષિણ અમેરિકાને જોડતો ભૂમિ-ભાગ સેન્ટ્રલ અમેરિકા કહેવાય છે. એ ભાગમાં કુલ સાત દેશો આવેલા છે. એ દેશોના ભૂમિ-પ્રવાસ વિષે મેં “એક પંખીનાં પીંછાં સાત” નામનું પુસ્તક લખ્યું છે. ફરીથી પનામા દેશ આવવાની તક મને મળી હતી, ગયાનાની મુસાફરીને કારણે. થોડા દિવસ ફરીથી હું પનામામાં ગાળવાની હતી.

    આગલા વખતે, લાંબા સમયથી અહીં વસતા એક કુટુંબ સાથે ઓળખાણ અને મૈત્રી થયેલાં. આટલાં વર્ષો પછી એમને ફરી મળાશે. વળી, મારી ન્યૂયૉર્કમાંની એક ખાસ યહુદી મિત્રની કઝીન અને પતિ પનામામાં વસવાટ કરે છે, ને એમને ત્યાં જવાનું પણ મને આમંત્રણ મળ્યું હતું. આ તો અણધાર્યો જ સંજોગ હતો, ને એનો મને આનંદ હતો. અજાણી જગ્યાએ સ્થાનિક લોકોને મળવાનું બને, તે મને નસીબદાર બનાવે છે.

    આ પનામા દેશની વસ્તી છે માત્ર ત્રીસ લાખ જેટલી, પણ એના અપાર વૈવિધ્યમાં સ્પેઇન  અને ફ્રાન્સ જેવા યુરોપી દેશોનાં વંશજ, અમેરીન્ડિયન તળ-લોકો, આફ્રિકાના કાળા લોકો, વૅસ્ટ ઇન્ડિઝના દેશોમાંથી મજૂરી માટે લવાયેલા લોકો, શ્વેત અમેરિકનો, ચીની, કોરિઅન, ઈસ્ટ ઇન્ડિયન જેવાં લોક-જૂથો છે. ઉપરાંત, સમાજનો ૭૨ ટકા જેટલો ભાગ ‘મૅસ્તિઝો’ કહેવાતી મિશ્રિત જાતિના લોકોનો બનેલો છે, તે ભારે નવાઈ લાગે તેવી વિગત છે.

    સેન્ટ્રલ અમેરિકાના સાત દેશોમાંનો આ છેલ્લો દેશ છે. ત્યાંથી જ શરૂ થાય દક્શિણ અમેરિકા. અલબત્ત, વચમાં, પસાર ના કરી શકાય તેવો, પર્વતો અને ગાઢ જંગલોનો પ્રદેશ આવેલો છે. પનામાની પચાસથી એકસોવીસ માઇલ જેટલી પહોળાઇવાળી ભૂમિ પર પર્વતો, જંગલો, મેદાનો, ખીણો, જ્વાળામુખી, સાગર-કિનારા બનેલાં છે. વળી, એક તરફ કરીબિયન અને બીજી તરફ પૅસિફિક સમુદ્ર છે, જેમાં બે હજાર જેટલા નાના-મોટા ટાપુ પણ છે.

    પનામા દેશ સૌથી વધારે જાણીતો બન્યો છે એમાં આવેલી પનામા કૅનાલને માટે. દેશના સાંકડામાં સાંકડા ભાગમાં બાંધેલી, પચાસ માઇલ લાંબી આ કૅનાલ ઍટલાન્ટીક અને પૅસિફિકને જોડે છે, અને આ જળ-માર્ગમાં થઈને વર્ષનાં ચૌદ હજાર જેટલાં કૉમર્શિયલ અને કાર્ગો વહાણો પસાર થાય છે.

    એ બની તે પહેલાં આ વહાણોને આખા દક્ષિણ અમેરિકા મહાખંડને ફરતે હજારો માઇલો કાપીને જવું પડતું. એમાં મહિનાઓ લાગતા, અને ખર્ચો પણ ખૂબ થતો. આ કૅનાલને કારણે વહાણો એક તરફથી બીજી તરફ ફક્ત ચૌદથી સોળ કલાકમાં જઈ શકે છે. દરેક વહાણને એક લાખ અમેરિકન ડૉલરનો વેરો ભરવો પડે છે, પણ આ જળ-માર્ગ નહતો ત્યારે દસ લાખ ડૉલરનો ખર્ચો થતો.

    આજે આ કૅનાલને એકસો વર્ષ થયાં છે, અને એની ઉપયોગિતા એટલી વધી છે, કે એને પહોળી કરવામાં આવી રહી છે. એ પૂરી થતાં એમાંથી વર્ષનાં અઢાર હજાર વહાણ પસાર થઈ શકશે. કોલસો, લોખંડ, તેમજ સોયાબીન, મકાઈ, સોરગમ જેવું ધાન ઘણા વધારે પ્રમાણમાં દુનિયાનાં માર્કેટોમાં પહોંચી શકશે. કૅનાલને વધારવાનો ખર્ચો સાડા પાંચ બિલિયન ડૉલર થવાનો છે, પણ અગિયારેક વર્ષમાં એ ખર્ચો નીકળી જશે, તેમ ધારણા છે.

    આવા જળ-માર્ગનો સૌ પ્રથમ વિચાર, છેક ૧૫૨૪ની સાલમાં, સ્પેઇનના રાજા કાર્લોસ પાંચમાને આવેલો. પણ ત્યારે આ ભગીરથ કાર્યને માટે જરૂરી સાધનો નહતાં. પછી ૧૮૮૦માં ફ્રેન્ચ સરકારે આ કામ હાથમાં લીધું. એમણે સુએઝ કૅનાલ બનાવેલી, એટલે એમને એમ, કે આ કૅનાલ પણ બનાવી જ શકશે. વીસ વર્ષની મથામણ પછી એમને લાગ્યું, કે આ પ્રોજેક્ટ અશક્ય છે.

    ૧૯૦૩માં પનામા દેશ કોલોમ્બિયા નામના દેશ પાસેથી સ્વતંત્ર થયો, અને પછી અમેરિકાએ આ કૅનાલ બનાવવાનું બીડું ઝડપ્યું. એમણે ૧૯૦૪માં ફ્રેન્ચ કૅનાલ કંપની પાસેથી બધા હક્ક ખરીદી લીધા, અને ખોદકામ શરૂ કર્યું. બરાબર દસ વર્ષે, પનામા કૅનાલમાંથી સૌથી પહેલું અમેરિકન કાર્ગો શિપ પસાર થયું. એ દિવસ હતો ૧૯૧૪ સાલની પંદરમી ઑગસ્ટનો.

    ઇજનેરી કૌશલ્યની આ પરાકાષ્ઠા ગણાય છે. અસંભવ જેવું આ કાર્ય અમેરિકાએ કરી બતાવ્યું. બંને દેશો વચ્ચેના કરાર પ્રમાણે, ૧૯૯૯માં કૅનાલનો બધો વહીવટ પનામા સરકારને સુપ્રત કરી દેવામાં આવ્યો. છતાં, આજે પણ, અમેરિકાના ડૉલર જ પનામાનું રોજના જીવનનું મુખ્ય અને સર્વમાન્ય નાણું છે. ને આજે પણ, પનામા શહેર બરાબર કોઈ સમૃદ્ધ અમેરિકન શહેર જેવું જ દેખાય છે, અને વર્તે છે.

    પણ આ શહેરમાં, તેમજ આ દેશમાં, વિરોધો ઘણા જ છે – ગરીબ અને તવંગર, સાધારણ અને અસાધારણ, જૂના અને નવા, આધુનિક અને તળ-શૈલી, શહેરી અને ગ્રામીણ, અતિનવીન અને નૈસર્ગિક, વગેરેની વચ્ચે. લગભગ પહેલી નજરે જ આ વિરોધો ધ્યાન ખેંચે છે. અલબત્ત, સૌથી વધારે પનામા શહેરમાં.

    કહે છે, કે પનામા શબ્દ અમેરીન્ડિયન ભાષા પરથી આવ્યો છે, અને એનો અર્થ “માછલીની પ્રચુરતા” જેવો થાય છે. પૅસિફિક સમુદ્રને કાંઠે વસેલું સેન્ટ્રલ અમેરિકાનું આ એક જ પાટનગર છે. ઊંચી ઇમારતોને કારણે એ ન્યૂયૉર્ક, સાન ફ્રાન્સિસ્કો, વૅનકુવર ને હૉન્ગકૉન્ગની યાદ અપાવે છે.

    પનામા શહેરની સાતેક લાખની વસ્તીનો મોટો ભાગ શહેરના નવા અથવા જૂના, મોંઘા અથવા સસ્તા, ફૅન્સી અથવા જર્જરિત વિભાગોમાં વસે છે. દિવસે દુકાનો અને રસ્તાઓ પર લોકોની ભીડ રહે છે, તો રાતે ક્લબો અને કૅસિનો ભરચક હોય છે. લોકવાયકા પ્રમાણે, છેલ્લાં ત્રણસો વર્ષથી આ શહેર આવું જ ઉત્સવપ્રિય રહ્યું છે.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.