વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • વિદ્યાર્થીઓ માટે : ગીતાનાં શાશ્વત સૂત્રો – ગીતાની પૂર્વભૂમિકા

    પ્રકાશકઃ જોય એન્ટરપ્રાઇઝ, જી૫,શક્તિ સ્ક્વેર, મૅનેજમૅન્ટ એન્ક્લેવ સામે,  નેહરૂ પાર્ક  રોડ, અમદાવાદ  ૩૮૦૦૧૫ ISBN: 978-93-48694-79-9    કિંમતઃ રૂ. ૨૫૦/-

    હરેશ ધોળકિયા

    ભગવદ્‍ ગીતા કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી. તે મહાભારતનો એક નાનકડો ભાગ છે.

    ભારતીય સંસ્કૃતિના બે મહાન ગ્રંથો છે “રામાયણ” અને “મહાભારત.” બંને ભારતીય સંસ્કૃતિના પાયાના મૂલ્યોને સમજાવે છે. મહાભારત વિશાલ ગ્રંથ છે. તેના આશરે એક લાખ શ્લોકો છે. તેમાં કુરુ વંશની કથા છે. કુરુ વંશના બે સંતાન ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રોની કથા છે. ધૃતરાષ્ટ્રના સો પુત્રો છે, પણ જાણીતો દુર્યોધન છે. પાંડુના પાંચ પુત્રો છે. દુર્યોધન પાંડવોને ગાદી  મળે તે ઈચ્છતો નથી. એટલે તે શરૂઆતમાં પાંડવોને મારી નાખવાના પ્રયાસો કરે છે, પણ પાંડવો બચતા રહે છે. છેવટે તે દગાથી યુધીસ્થીરને જુગારમાં હરાવે છે અને બાર વર્ષ વનમાં મોકલી દે છે. તેરમું વર્ષ તેમને ગુપ્ત વાસમાં રહેવાનું હોય છે. આ બધું કર્યા પછી પણ તે પાંડવોને રાજ્ય આપતો નથી. એટલે રાજ્ય મેળવવા પાંડવો કૌરવો સામે યુદ્ધ જાહેર કરે છે અને બંને વચ્ચે આધાર દિવસનું યુદ્ધ લડાય  છે જેમ પાંડવો અને થોડા બીજા સિવાય લગભગ બધા જ મ્રત્યુ પામે છે.

    યુદ્ધની શરૂઆતમાં અર્જુન કૃષ્ણને કહે છે કે તે બંને સેનાઓ પર નજર કરવા માગે છે. એટલે કૃષ્ણ રથને બંને સેનાઓ વચ્ચે ઊભાડે છે. અર્જુન બધા પર નજર ફેંકે છે. ત્યારે તેને સામી સેનામાં ભીષ્મ, દ્રોણ વગેરે વડીલો અને મિત્રો દેખાય છે અને તે  ઢીલો થઇ  જાય છે અને કૃષ્ણને કહે છે કે તે આ બધાને મારીને રાજ કરવા માગતો નથી. એમ કહી તે પોતાના હાથમાંના ધનુષ્ય-બાણ નીચે મૂકી દે છ અને “ નહિ લડું” કહી બેસી જાય છે. ત્યારે કૃષ્ણ અર્જુનને તેની ફરજનું ભાન કરાવવા અને સત્ય સમજાવવા જે ઉપદેશ આપે છે, તે આ ગીતા. કૃષ્ણ ભગવાન મનાય છે, માટે તેઓ જે બોલે છે તેને “ ભગવાન ઉવાચ” કહ્યું છે. તે સાતસો શ્લોકોમાં અર્જુનને  ઉપદેશ આપે છે અને તેની ફરજનું  ભાન કરાવે છે. અર્જુન  તેમની  વાત સમજે છે અને હવે  તે લડવા તૈયાર થાય છે.

    આ સાતસો શ્લોકોમાં જે ઉપદેશ આપ્યો છે, તે ભારતીય તત્વજ્ઞાનનો  સાર છે. ભારતીય તત્વજ્ઞાન એટલે “ઉપનિષદો.” તેમાં જ સમગ્ર જ્ઞાન છે. પણતે સમજવા ખૂબ કઠિન છે. એટલે વ્યાસે તેમને આ ગીતાના માધ્યમથી સરળ કરી સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ગીતાને એટલે જ ઉપનિષદનો સાર કહેવાય છે.

    સમગ્ર ગીતાને અઢાર  અધ્યાયમાં વહેંચી નાખી છે. દરેક અધ્યાયમાં વિવિધ મુદ્દાને સમજાવ્યા છે. મહાભારતમાં તો બધા અધ્યાયોને છેડે “ભીષ્મ  પર્વ” લખેલ છે, પણ સમય જતા ગીતા પોતે જ એક સ્વતંત્ર ગ્રંથ બની ગયો અને તેના દરેક અધ્યાયને સ્વતંત્ર નામ આપવામાં આવ્યા.

    ગીતા એક અદ્‍ભૂત ગ્રંથ છે. તેનું તત્વજ્ઞાન ખૂબ ઊંડું છે. તેમાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગને સમજાવ્યા છે. આ ઉપદેશ એટલો તો સરળ અને વ્યવહારુ રીતે મૂક્યો છે કે બધાને સમજાઈ જાય. આ ઉપદેશ સનાતન સત્ય પર આધારિત છે. એટલે આજે પાંચ હજાર વર્ષ પછી પણ તે એટલો જ ઉપયોગી છે અને આજે તેને મૅનેજમૅન્ટમાં પણ ઉપયોગમાં લેવાય છે.

    ગીતા મુખ્યત્વે મનુષ્યમાં રહેલ ચેતનાની વાત કરે છે. શરીર ભલે મર્ત્ય છે, નાશવંત છે, પણ તેમાં રહેલ આત્મા અમર છે. જો વ્યક્તિ આ આત્માને ઓળખી લે, તો તે પણ આ અમરત્વનો અનુભવ કરી શકે. પણ સામાન્ય સંદર્ભમાં મનુષ્યે સ્વસ્થ કેમ રહેવું અને પરમ ચેતનાને કેમ જાણવી તેના પર જ વાત કરી છે. તેને કૃષ્ણ-અર્જુનના સંવાદ દ્વારા કહી છે. એક વાર જો ગીતાના તત્વજ્ઞાનને સમજી શકાય, તો વ્યક્તિનું સમગ્ર જીવન સ્વસ્થ રહે અને તે આનંદથી જીવી શકે. અને આ બંને બધાને જોઈએ છીએ, એટલે ગીતા સમગ્ર જગત માટે ઉપયોગી રહી છે અને આજે પણ છે. તે માત્ર ધર્મ ગ્રંથ ન રહેતા જીવન ગ્રંથ બની ગયો છે અને સમગ્ર જગતના જિજ્ઞાસુઓ તેનો અભ્યાસ કરે છે અને તેના તત્વજ્ઞાનનો લાભ લે છે.

    આ સંદર્ભમાં અહીં પણ ગીતાને એ જ રીતે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ, યુવાનો અને વૃદ્ધો—બધાને સમજાય તેવી ભાષામાં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો છે.


    હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ  રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • રાષ્ટ્રપતિ પદની ઓફર એમણે કલાને ખાતર નકારી હતી….

    નિસબત

    ચંદુ મહેરિયા

    સાહિત્ય, સંગીત, નૃત્ય અને કલા બાબતમાં અરસિક ગણાય એવા મોરારજી દેસાઈએ એમના પ્રધાનમંત્રીત્વકાળ(૧૯૭૭-૧૯૭૯)માં એક નૃત્યાંગનાને રાષ્ટ્રપતિ પદની ઓફર કરી હતી! જોકે  તેમણે તે કલાને ખાતર સાદર નકારી હતી! આ કોઈ સામાન્ય નૃત્યાંગના નહોતા. ભરતનાટ્યમનાં પ્રતિષ્ઠાપક કલાધરિત્રી અને દક્ષિણ ભારતના શાંતિનિકેતન તરીકે ખ્યાત ટોચની કલા સંસ્થા ‘કલાક્ષેત્ર’ના અધિષ્ઠાત્રી રુક્મિણી દેવી અરુન્ડેલ  હતાં. ૧૯૭૭માં તત્કાલીન વડાપ્રધાન મોરારજીભાઈએ તેમને રાષ્ટ્રપતિ પદની ઓફર કરી હતી, પરંતુ રાજકારણીઓ સાથે કલાનો મેળ શક્ય ન હોવાની ભાવનાને કારણે અને રાજકારણી માહોલને વશ વર્તવાની અનિચ્છાને લીધે તેમણે ઓફર નકારી હતી. જો એ શક્ય બન્યું હોત, તો તેઓ કદાચ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની શક્યાં હોત.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    રુક્મિણી દેવી અરુન્ડેલનો જન્મ ૨૯મી ફેબ્રુઆરી ૧૯૦૪ના રોજ તમિલનાડુના મદુરાઈમાં થયો હતો. પિતા નીલકંઠ શાસ્ત્રી વ્યવસાયે ઈજનેર હતા અને સંગીતના શોખીન હતા. પુત્રીને પણ પિતાનો સંગીત શોખ બચપણથી જ સ્પર્શી ગયો. રુક્મિણી દેવીનું શાળા શિક્ષણ અલ્પ સમયનું હતું. પરંતુ આંતરિક શક્તિઓ એટલી તેજ હતી કે કલાક્ષેત્રે મહત્વનું યોગદાન કરી શક્યાં. સંસ્કૃતના વિદ્વાન પિતા,  થિયોસોફિકલ સોસાયટીની પ્રવૃતિઓમાં સક્રિય હતા. તેમનું કુટુંબ અડ્યારમાં રહેતું હતું તે દરમિયાન થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ એની બેસન્ટ પાસે આવેલા ઓસ્ટ્રેલિયાના કેળવણીકાર ડો.જ્યોર્જ અરુન્ડેલ સાથે, સોળ વરસના રુક્મિણીનો પરિચય થયો. પરિચય પાંગરી, પ્રેમમાં અને લગ્નમાં પરિણમ્યો. રુઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારની દીકરી મોટી ઉંમરના વિધર્મી, વિદેશી યુવક સાથે લગ્ન કરે તે સમાજને સ્વીકાર્ય નહોતું. વિરોધને કારણે તેઓને ઘર છોડી મુંબઈ જતાં રહેવું પડ્યું હતું.

    લગ્ન પછી રુક્મિણી દેવીએ થિયોસોફિકલ ફિલસૂફી સમજવા અને પચાવવા માંડી. આ હેતુસર પતિ જ્યોર્જ સાથે યુરોપનો પ્રવાસ કર્યો. આ પ્રવાસ દરમિયાન સોવિયેત નર્તકી આના પાવલોવ સાથે ભેટો થયો હતો. એમની સહાયથી કુલિયો નૉર્ડી પાસેથી એમણે પશ્ચિમી નૃત્યો શીખવાનો આરંભ કર્યો. વિદેશી નહીં ભારતીય નૃત્યોમાં પારંગત થવાની આના પાવલોવાની સલાહ પછી  રુક્મિણી દેવીએ ભારતીય નૃત્યો તરફ લક્ષ આપ્યું. જ્યારે તેઓ ભારતીય નૃત્યની તાલીમ લેતાં હતા ત્યારે તે દાસી આટ્ટમ કે સદીરનાચ તરીકે ઓળખાતું હતું. આ નૃત્ય મોટે ભાગે મંદિરોમાં દલિત દેવદાસીઓ કરતી હતી.

    લોકસભામાં મુથુલક્ષ્મી રેડ્ડીએ દેવદાસી પ્રથા અને તેમના મંદિરોમાં નૃત્યો પર પ્રતિબંધ મૂકતો ખરડો  રજૂ કર્યો ત્યારે તેને ધીકતી વકીલાત છોડી ઈ. કૃષ્ણાઆયરે ટેકો આપ્યો. કલાનિધિ નારાયણ નામના બ્રાહ્મણ મહિલાએ ભરતનાટ્યમનો જાહેર પ્રયોગ કર્યો. બરાબર આ જ સમયે રુક્મિણી દેવી  નૃત્યની તાલીમ લેતાં હતાં. ચિદમ્બરમ મંદિરમાં એમનું આરંગેત્રમ યોજાયું હતુ. પતિના સાથ અને પ્રોત્સાહન થકી ૨૮ વરસની મોટી વયે નૃત્ય સાધના આરંભ્યા છતાં તેઓ તેને આત્મસાત કરી શક્યાં હતાં. ૧૯૩૫માં થિયોસોફિકલ સોસાયટીના હીરક મહોત્સવમાં દેવદાસીઓના નાચ તરીકે ઓળખાતું ભરતનાટ્યમ તેમણે રજૂ કર્યું હતુ. એ રીતે તેનું પ્રતિષ્ઠાપન કર્યું. ૧૯૩૬માં રુક્મિણી દેવી અરુન્ડેલે અડ્યાર એકેડેમી ઓફ આર્ટ્સની સ્થાપન કરી હતી. જે કલાક્ષેત્ર તરીકે નામના પામી હતી.

    માત્ર ભરતનાટયમના ઉધ્ધારક તરીકે જ એમણે કામ કર્યું. નથી.પરંતુ જીવનનાં ઘણાં ક્ષેત્રોમાં એમનું પ્રદાન છે. ૧૯૩૮માં અરુન્ડેલ દંપતિએ મેડમ મોન્ટેસરીની મુલાકાત લીધી હતી અને તેમને ભારતમાં નોતરી બાળશિક્ષણના ક્ષેત્રે નવી ભોં ભાંગવાનું તાક્યું હતું. ૧૯૩૯માં તેમણે મદ્રાસ( આજના ચેન્નઈ)માં બાળકોની મોન્ટેસરી શાળા સ્થાપી હતી. ૧૯૪૫માં એમના પતિના અવસાન પછી એમણે ” કલાક્ષેત્ર’ ના વિકાસને પ્રાધાન્ય આપ્યું હતું. નિ:સંતાન રુક્મિણી દેવી માટે ‘કલાક્ષેત્ર’ જ એમનું સાચું સંતાન બની રહ્યું.

    ૧૯૫૨થી સતત બે ટર્મ તેઓ રાજ્યસભાના  રાષ્ટ્રપતિ નિયુક્ત કદાચ પ્રથમ મહિલા સભ્ય હતાં. એ સમય દરમિયાન  તેમણે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાનો નિષેધ કરતો કાયદો પસાર કરાવ્યો હતો. પ્રાણીઓ પ્રત્યેની કરુણા અને શાકાહારવાદની  ઝુંબેશના એ અગ્રણી હતાં. પ્રાણીઓ પરના પ્રયોગો થકી બનાવાતી એલોપથિક. દવાઓ અને એમની કતલથી બનાવાતાં સૌંદર્ય પ્રસાધનો- સાધનો, ફેશનેબલ વસ્ત્રો અને સાપ જેવાં પ્રાણીઓની ચામડીથી બનાવાતી ચીજવસ્તુઓનો તે કદી ઉપયોગ કરતાં નહીં. તેઓ બ્યુટી વિધાઉટી ક્રુઅલ્ટી સંસ્થાના પણ હોદ્દેદાર હતા. એ નાતે તેમણે વિચારો અને આચરણમાં સમાનતા રાખી હતી. ૧૯૬૨માં સ્થપાયેલા એનિમલ વેલ્ફેર બોર્ડના તેઓ સ્થાપક અધ્યક્ષ હતા. રાજ્યસભાના નોમિનેટેડ  સભ્ય તરીકેની તેમની મહત્વની કામગીરીમાં તમામ ભારતીયોને મળેલા સમાન મતાધિકારનો વિરોધ અને શિક્ષણના સવાલોને રાજકીય પક્ષોના નીચા અગ્રતાક્રમનો વિરોધ પણ હતાં.

    ૧૯૫૬માં રુક્મિણી દેવી અરુન્ડેલને પદમ ભૂષણનું નાગરિક સન્માન મળ્યું હતું. ૧૯૫૭માં તેમને સંગીતનાટ્ય અકાદમી એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. મૂંગા પ્રાણીઓની કતલને રોકવાના પ્રયાસો માટે બ્રિટનની સંસ્થાનો ક્વીન વિકટોરિયા એવોર્ડ તેમને ૧૯૫૮માં મળ્યો હતો. વિશ્વભારતી યુનિવર્સિટીએ એમને દેશકોત્તમની અને અમેરિકાની રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીએ એમને ડોકટરેટની માનદ પદવી એનાયત કરી હતી. બનારસ હિન્દુ યુનિવર્સિટીએ ૧૯૮૨માં તેમને ડોકટરેટથી સન્માન્યા હતાં. ૧૯૮૪માં મધ્યપ્રદેશ સરકારે તેમને કાલિદાસ પુરસ્કાર એનાયત કર્યો હતો. દેશની ટોચની નૃત્ય પ્રતિભાઓ મૃણાલિની સારાભાઈ , શુભ લક્ષ્મીખાન, યામિની કૃષ્ણમૂર્તિ અને ઉમારાવના તેઓ ગુરુ હતા.

    ૨૪મી ફેબ્રુઆરી ૧૯૮૬ના રોજ ચેન્નઈમાં તેમનું નિધન થયું હતું. ભરત નાટ્યમને પુન: પ્રતિષ્ઠ કરનાર રુક્મિણી દેવી અરુન્ડેલના કાર્યની ભરતનાટ્યમની વર્તમાન સ્થિતિ સાથે તુલના કરતાં ચિંતા ઉપજે છે. એક કાળે દેવદાસીઓના નૃત્ય તરીકે ઉપેક્ષિત અને અપ્રતિષ્ઠિત લેખાતું ભારતીય નૃત્ય આજે ઊંચા ઘરાણાની સ્ત્રીઓના શોખની ચીજ બની ગયું છે. જાહેરમંચનું નૃત્ય દીવાનખાનામાં કેદ થઈ ગયું છે. લગ્ન પસંદગીનું અનિવાર્ય અંગ બની ગયું છે. ખોટા દેખાવ અને ગ્લેમરનો ભોગ બની ગયું છે. રુક્મિણી દેવીના જીવતા જીવ જ નૃત્યની આ દશા હતી.

    દેવદાસીઓનું ગણાતું નૃત્ય આજે શ્રીમંત પરિવારોનું મનોરંજનનું સાધન બની રહ્યું છે. ત્યારે પુન:પ્રતિષ્ઠ થયેલ ભરતનાટ્યમની , રુક્મિણી દેવીએ ચાહેલી પેલી પ્રતિષ્ઠા સાથેની એની શુધ્ધિ જરૂરી છે. અમીરો અને કથિત ઉચ્ચવર્ણના  કેદખાનામાંથી એ બહાર નીકળી જાહેર મંચ પર આવે અને આમ મહિલાઓનું નૃત્ય બની રહે એ જ રુક્મિણી દેવી અરુન્ડેલના જીવનકાર્યોનું સાચું તર્પણ હશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • એક સાહિત્યિક તીર્થ અને તેમાં રહેલી પુસ્તકપ્રતિમાઓ – ભરુચ જિલ્લાનો કેળવણી ખાતાનો ઈતિહાસ

    આદિમુદ્રિત ગ્રંથવૈભવ

    નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્‍દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્‍ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ  વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.

    ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્‍ક પર વાંચી શકાશે.

    https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/


     

    બીરેન કોઠારી

    પુસ્તક ક્રમાંક: ત ૪૯/૦૧૭૫૪

    પુસ્તકનું નામ: ભરુચ જિલ્લાનો કેળવણી ખાતાનો ઈતિહાસ

    રચનાર: મેહેતાજી ગણપતરામ રાજારામ

    છાપનાર: રણછોડલાલ ગંગારામ

    પ્રકાશન વર્ષ: ૧૮૭૭

    કિંમત: ૧૨ આના

    પૃષ્ઠસંખ્યા: ૧૦૦

    વિગત: પુસ્તકના ઉઘડતે પાને લખાયું છે: ‘આ ગ્રંથ છપાવી પ્રસિદ્ધ કરવામાં ભરૂચ જિલ્લાના ઘણાખરા મેહેતાજીઓએ સારી સહાયતા આપી છે.’ ભરૂચ વિભાગના તત્કાલીન ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્‍સ્પેક્ટર રાવસાહેબ ગોપાળજી ગુલાબભાઈના સૂચનથી આ આખો ઈતિહાસ પદ્યસ્વરૂપે લખવામાં આવ્યો છે.

    આરંભે સંક્ષિપ્તમાં ભરુચ જિલ્લાની ભૂગોળ અને તેનો પ્રાચીનથી આજ સુધીનો ઈતિહાસ પણ પદ્યસ્વરૂપે છંદોબદ્ધ અપાયો છે. એ પછી કેળવણીના ઈતિહાસને કુલ છ કાળમાં વિભાજીત કરી દેવામાં આવ્યો છે.

    સૌથી છેલ્લે ‘આશીર્વાદાષ્ટક’ છે.

     

    આ પુસ્તક નીચેની લીન્‍ક પર વાંચી શકાશે.

    https://rekhtagujarati.org/ebooks/detail/ganapatram-rajaram-mehetaji-ebooks


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્નું : પ્રકરણ ૨ : પત્રની શરૂઆત

    સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’

    શ્રી જગન્ન્નાથપુરી,
    તા. ૨૨ જાન્યુઆરી ૧૮૯૨.

    પ્રિય માસ્તર સાહેબ જોશીજી,

    પને કુદરતી લીલાનું અવલોકન કરવાનો શોખ છે, મને પણ કુદરતી કૃતિપર લક્ષ આપી, તેનું વર્ણન લખવામાં આનંદ આવે છે અને કાશ્મીર દેશ કુદરતી ખુબીનો જ સમુદાય છે તેથી તે વિષે આપને કાંઈક લખવું એવી મારી ઇચ્છા છે.

    ⁠જે રસ્તે અમે શ્રીનગર ગયા હતા તેજ રસ્તેથી પાછા આવ્યા છીએ. તો એકજ દેખાવનું બે વખત વર્ણન આપવું એ નીરસ લાગે છે તેથી પહેલાં શ્રીનગરનું વર્ણન આપી પછી રાવલપિંડી અને શ્રીનગર વચ્ચેના રસ્તામાં જે જે સુંદર દેખાવો આવે છે તેનું વર્ણન આપું છું.

    ⁠અમે શ્રીનગર ઑક્ટોબરની એકત્રીશમી તારીખે સવારે અગિયાર વાગે પહોંચ્યા. અમારાં વાહન, ગાડી અથવા ઘોડાં નહોતાં પણ અમે એક જાતની હોડીમાં બેઠા હતા. આ હોડીનું તળિયું દરિયામાંની હોડી જેવું હોતું નથી પણ ચપટ હોય છે, કારણકે આ હોડીને જેલમ નદીમાં ચાલવાનું છે હોય અને કોઈ કોઈ ઠેકાણે પાણી છીછરું હોવાને લીધે આવું તળિયું રાખવાની જરૂર છે. હોડી પાણીમાં માત્ર એકાદ વેંત ડૂબતી રહે છે અને ઉપર ઘાસનું છાપરૂં હોય છે, તેથી સખત પવનના ઝપાટાથી અથવા તોફાનથી ઊંધી વળી જવાની ઘણાને ધાસ્તી રહે છે. અમારે સ્હામે પૂર જવાનું હતું. તેથી અમે જ્યાંથી આ હોડીમાં બેઠા ત્યાંથી તેને ખેંચવી પડતી હતી. તેના અગાડીના ભાગમાં એક લાકડું ખોડી રાખે છે અને તેને એક દોરડું બાંધવામાં આવે છે; આ દોરડું ઝાલી હોડીને ખેંચવા માટે ચાર –પાંચ માણસો કિનારે ચાલ્યા જાય છે; અને હોડીને નદીની વચમાં રાખવાને એક માણસ તેના અગાડીના ભાગમાં લાંબો વાંસ લઈ ઉભેલો હોય છે. તે વાંસને તળિયામાં ખોસતો આવે છે અને હોડીને મરજી મુજબ વાળે છે. આ ખલાસીઓને કાશ્મીરમાં માંજી કહે છે અને હોડીને કિસ્તી કહે છે. અમારે આવી કિસ્તીમાં આશરે એંશી માઈલ મુસાફરી કરવાની હતી. એક્માં કુમારશ્રી ગીગાવાળા, હું અને અમારા પાસવાનો હતા, બીજીમાં પ્રાણજીવનભઈ અને એમનાં માણસો, ત્રીજીમાં રસોઇયા અને રસોડાનો સામાન અને ચોથીમાં બધો સામાન અને કેટલાંક માણસો. અકેક કિસ્તીનું દર માસે પંદર રૂપિયા ભાડું ઠરાવેલું હતું.

    ⁠જે જગ્યાએ અમો કિસ્તીમાં બેઠા ત્યાં અમારી બરદાસ માટે રાજ્ય તરફથી એક બ્રાહ્મણ મોકલવામાં આવ્યો હતો. આવા બ્રાહ્મણો કાશ્મીરમાં ઘણાં છે, અને તેઓ પંડિત કહેવાય છે. જે પંડિત અમારી બરદાસ માટે આવેલ હતો તેનું નામ વાસકાક હતું, પણ પાછળથી અમે એનું નામ કાગવાસ પાડેલું હતું. આ પંડિત અમારી સાથે ચાલ્યો. કિસ્તીવાળાએ કહ્યું કે, જો માંજીલોકો વધારે હશે તો અમે તમને શ્રીનગર એક દિવસ વહેલા પહોંચાડીશું. માંજી લાવવાનું કામ પંડિતને સોંપ્યું. પંડિત ત્રીસચાળીશ માણસોને પકડી લાવ્યો, પણ સવારે તો અમે એકે માંજી જોયો નહિ. બીજે દિવસે પણ એટલાંજ માણસોને પકડી લાવ્યો છતાં સવારે ચાર માણસો રહ્યાં. બીજા ક્યાં ગયાં ? અગાડીને દિવસે લાવેલ માણસમાંથી કામ કરવા એક્કે કેમ ન આવ્યું ? અમે પંડિતને કહ્યું હતું કે અમે એ લોકોને પૈસા આપશું; પણ પંડિતો ગરીબ લોકોને એક પાઈ પરખાવતા નથી. જે લોકોને તે પકડી લાવયો હતો તેમાંના દરેક પાસેથી તેણે પા પા અડધો રૂપિયો લઈ છોડી મૂક્યા. આ લોકો આવી રીતે પંડિતોના ગજવાં શા માટે ભરે છે? રાજ્યમાં કર્તાહર્તા પંડિતો જ છે. તેની સામેની ફરિયાદ કોઈ સાંભળે નહિ. માંજી લોકો ગરીબ અને અણસમજુ છ: તેઓની બિચારા માથે છપ્પનના પાટા પડે છે. તેઓની સ્થિતિ ગુલામ કરતાં પણ વધારે ખરાબ છે. પંડિતો તેઓને વેઠે કામ કરાવે છે, કામ ન કરે તો માર મારે છે. આવો એક માંજી અમારી હોડી ખેંચતો હતો તેણે અમને આ બધી વાત કરી. એ સિવાય પણ આ વાત સાચી માનવાને અમને ઘણાં કારણો મળ્યાં હતાં. એક વખત તો અમે માંજી લોકોને ભાગી જતાં, આ પંડિતને તેની પાછળ પડતાં, અને માર મારતાં નજરે જોયો. ત્યાર પછી અમે પંડિતને કહી દીધું કે હવેથી કોઈ માંજીને લાવવો નહિં; અને અમારૂં કામ કરવા આણેલા બિચારા ગરીબ માંજીઓને ખુશી કરી ઘેર જવા દીધા.

    ⁠શ્રીનગરના ધોરી રસ્તા, એ જેલમ નદી અને તેના ફાંટા છે. આથી ગાડી અને ઘોડાને બદલે રંગેલી કિસ્તીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે શ્રીનગરને કુદરતી બક્ષીસ ઘણી સારી મળેલી છે; તોપણ ત્યાંના રહેવાસી ગંદા, ગરીબ અને જંગલી જેવા હોવાને લીધે તેનો ઉપયોગ કેમ કરવો તે સમજતા નથી. શેહેર ઘણું જ ગંદું છે. સ્વચ્છતા એટલે શું, એ થોડા જ સમજે છે. ગરીબનાં ઝૂંપડા, તવંગરના ઘર, તેમજ મહારાજાના મહેલપર નળિઆંને બદલે ઘાસથી છવાએલાં માટીનાં છાપરાં હોય છે; તફાવત માત્ર એટલોજ છે કે શ્રીમંત લોકો ઘાસ કપાવી લીલા ગાલીચા જેવા છાપરાનો દેખાવ રાખે છે અને ગરીબ લોકો તેમ કરી શકતા નથી. મહારાજાની કિસ્તી પણ વગર રંગેલી અને ગંદી હોય છે. તો પછી ગરીબ માંજીની શી વાત કરવી ? ઘરને કોઈ પણ મરામત કરાવતું નથી, તેથી શહેર ખંડેર જેવું દેખાય છે.

    ⁠શ્રીનગરમાં ૧,૦૦,૦૦૦ માણસની વસ્તી છે, તેમાં બે ભાગ મુસલમાનના છે, અને એક પંડિતનો છે. સ્ત્રી પુરુષો ઘણાં ખૂબસુરત, દેખાવડાં અને કદાવર છે પણ શરીર અને કપડાં હમેંશા ગંદા જ હોય છે. મુસલમાન વર્ગ વેપાર અને બીજાં કામ કરી રોજગાર ચલાવે છે. મુસલમાનનો થોડો જ ભાગ રાજ્યકારભારમાં નોકરી પર છે, કારણ કે સત્તા પંડિતોના બાપની જ છે. ઈશ્વરકૃપાથી હવે તે સત્તામાં દિનપ્રતિદિન ઘટાડો થતો જાય છે.

    ⁠કાશ્મીરના મહારાજા પ્રતાપસિંહજીનો કામકાજમાં અભિપ્રાય પૂછવામાં આવે છે, અને એમના જ હુકમથી રાજ્યનો બધો કારભાર ચાલે છે એવો દેખાવ મહારાજાના નાનાભાઈ અમરસિંહજીએ રાખ્યો છે. પણ કર્તાહર્તા એક કાઉન્સિલ છે. કાઉન્સીલના પ્રેસિડન્ટ અમરસિંહજી છે. ખુદ મહારાજા રાજ્યમાં ઘણું થોડું ધ્યાન આપે છે. અહીં ગવર્મેંટ તરફથી એક રેસિડેન્ટ રહે છે, એમની પણ રાજ્યમાં સારી સત્તા છે. મહારાજાના બીજા ભાઈ રામસિંહજી જે અમરસિંહ કરતાં મોટા છે તે સેનાધિપતિ છે. પોતાના લશ્કરી કામ સિવાય બીજા કોઈ કામમાં વચ્ચે પડતા નથી.

    ⁠કાશ્મીરમાં દરેક માણસ પારસીના ગોર (દસ્તુર) જેવી સફેદ પાઘડી બાંધે છે. વિવાહ પ્રસંગમાં પણ આ રંગ બદલાતો નથી. વરલાડ્‌ડો પણ તે જ રંગની અને તેવીજ પાઘડી બાંધે છે. સાધારણ માણસો સુરવાલ પહેરે છે. શરીર પર બદન અને તેના પર એક લાંબો, પગની ઘૂંટી સુધી નીચે લટકતો જભ્ભો પહેરે છે. આ ઝભ્ભાની બ્હાં ઘણી લાંબી અને પકતી હોય છે, તેથી હાથ બીલકુલ બહાર દેખાતા નથી. કામ કરવું હોય ત્યારે બ્હાંને ઉંચીને ઊંચી ચડાવી બેવડી કરી લે છે. કેટલાએક પંડિતો સુરવાલ પહેરે છે અને ઘણા માત્ર લંગોટી જ રાખે છે, કેમકે ઝભ્ભો ઘણોજ લાંબો હોય છે. હવે કેટલીક જગ્યાએ કોટ–પાટલૂન પણ નજરે પડે છે. સ્ત્રીઓ પુરુષ જેવાં જ કપડાં પહેરે છે, પણ માથે એક સફેદ વહોરાના જેવી ટોપી ઘાલે છે. આ અતિશય બેડોળ લાગે છે. ઘરેણાં બહુ જ થોડાં રાખે છે.

    ⁠શ્રીનગરની હવા વિલાયતના જેવી છે. કેટલાકનું મત એવું છે કે મદિરાપાન કાશ્મીરમાં ન કરે તો માણસને હરકત થાય, અને માણસ હંમેશા નાહી શકે નહિ. આમ કહેનારા દારૂના શોખી, આળસુ કે અજાણ્યા જ હોવા જોઈએ. વિલાયતમાં તેમજ કાશ્મીરમાં એવાં માણસો ઘણાં છે કે જે મદિરાનો સ્પર્શ પણ કદી કરતા નથી. અમે હમેશાં નિયમસર કાશ્મીરમાં વગર હરકતે નાહી શકતા, મદિરા પીવાની કોઈ પણ વખતે કોઈને જરૂર પડી નહોતી અને આનંદથી બહાર હરીફરી શકતા હતા.

    ⁠કાશ્મીરમાં મુસાફરી કરનારા માણસને કઈ કઈ બાબતની જરૂર પડે છે તે અમે પૂરૂં જાણી શક્યા નથી, કારણ કે અમે કાશ્મીરનો ઘણો જ થોડો ભાગ જોઈ શક્યા હતા : તોપણ અમને નીચેની વસ્તુઓની ઘણી જરૂર પડી હતી :-

    ૧—ગરમ કપડાં, ઓઢવાને શાલો અથવા બંડુસ.
    ૨—સંકેલાય તેવા પલંગો અને નાનાં પાતળાં ગાદલાં
    ૩—પાયખાનાનો તંબુ. જે માણસ હૉટલ અથવા ડૉક બંગલામાં ન ખાઇ શક્તો હોય તેણે એક બીજો રસોડાનો તંબુ પણ રાખવો જોઈએ. એક બે દિવસનું સીધું પણ સાથે જ રાખવાની જરૂર છે. દરેક મુકામે મજાના ડૉક બંગલા છે. તેમાં હૉટલની માફક જ જમવાની અને રહેવાની સારી સોઈ છે. જ્યાંથી જેલમ નદી પર કિસ્તીમાં મુસાફરી કરવી પડે છે ત્યાંથી સીધું સાથે રાખવાની ઘણી જ જરૂર છે. માંજીલોકો ઘણાજ સારા માણસો છે. નોકર કરતાં પણ વિશેષ આજ્ઞાંકિત છે. વળી ભલા અને હાથના ચોખ્ખા છે. આ લોકો મુસલમાન છે, અને રાંધી પણ આપે છે. જેને મુસલમાનના હાથે રાંધેલું ન ખપતું હોય તેણે રસોઇઆ સાથે રાખવા જોઈએ.
    ૪—કાશ્મીરમાં અમે ભેંશો ક્યાંય જોઈ નહિ. દૂધ ગાયોનું મળે છે. ઘી અને માખણ આળા ચામડામાં ભરી રાખે છે તેથી ઘણાં જ ખરાબ, કડવાં અને દુર્ગંધી હોય છે. અમને ઘી અને માખણ વિના ઘણી અડચણ પડી હતી. કાશ્મીરમાં દરેક દરેક મુસાફરે આ બે ચીજો હમેશાં સાથે રાખવી.

     

    ⁠રાવળપીંડીથી બારામુલ્લાં સુધી ટાંગા ભાડે મળી શકે છે. આ ઉત્તમ વાહન છે, તે અમને મળી શક્યું નહિ, કારણ કે વાયસરૉયને માટે બધા ટાંગા રાખેલાં હતા. અમે ફેટન ગાડીમાં બારમુલ્લાં સુધી ગયા. સામાન અને માણસોને માટે એકા ભાડે કર્યા હતા, આ એકાનાં ટટ્ટુ ઘણાંજ ખરાબ હોય છે; એકા નાના અને ખળભળી ગયેલ હોય છે, અને હાંકનાર બેદરકાર હોય છે. જો સામાન પંદર અથવા સોળ દિવસ અગાડીથી ચડાવી શકાય તેમ હોય તો ગાડાં અથવા કરાંચીઓ પણ મળે છે. આ કરાંચીના બળદોને રાશ હોતી નથી, પણ હાંકનાર લાકડીથી બળદને ડાબી જમણી તરફ વાળે છે. પર્વત પરના આડાઅવળા અને સાંકડા રસ્તામાં આ ભયંકર છે.

    ⁠કાશ્મીરમાં જવાનો ખરો વખત વસંત જ છે. એ ઋતુમાં હિમાલયમાંથી ઊતરતી, પછડાતી, ઉછળતી નદીઓ ઘણા જ જોસથી વહે છે. પર્વતો ઝરણથી છલકાતા દેખાય છે. ડુંગરો અને ખીણોપર વનસ્પતિના ગાલીચા પથરાઈ ગયેલા હોય છે. વળી ટાઢ પણ ઓછી હોય છે. જે ઋતુમાં અમે કાશ્મીરમાં ગયા તેમાં ફળફ્‌લાદિ ઊલી ગયાં હતાં, અને ઠંડી પણ સખત હતી. વાઈસરૉય તે જ વખતે કાશ્મીર હતા તેથી અમારા ધારવા પ્રમાણે અમે જઈ શક્યા નહિ. રાવળપીંડીમાં અમારે લગભગ બાર દિવસ પડ્યું રહેવું પડ્યું. અમારે આખો હિન્દુસ્તાન છ માસમાં જોવાનો હતો અને કાશ્મીરમાં ઘણી ટાઢ હોવાને લીધે અમને વધારે રોકાવું અને વધારે જોવું પરવડ્યું નહિ. આમ થવાથી અમે નાગાપર્વત, માનસબલ, માર્તંડ, અવંતિપુરનાં મંદિરો, અનંગનાથ, ઇસ્લામાબાદ અને પૃથ્વીના સ્વર્ગ જેવા કાશ્મીર દેશના એવાજ બીજા અતિ રમણીય પ્રદેશો જોઈ શક્યા નહિ.

    ⁠કાશ્મીરની ખૂબસૂરતી અને મુસીબતો વિષે અમે જેવું વાંચ્યું હતું અને તેથી અમારા મનમાં જેવી કલ્પના હતી તેવું અમે અનુભવ્યું નહિ, તોપણ એ દેશ સ્વર્ગનું પ્રતિબિંબ છે અને ત્યાં જવું કઠિન અને જરા જોખમ ભરેલું છે તેમાં તો કાંઈ શક જ નથી. અલબત મુસીબત વિના સ્વર્ગનાં દર્શન ક્યાંથી થાય ?[]ખૂબસુરતી ઓછી લાગી તેનું કારણ એટલું જ હશે કે અમે ગયા તે સારી ઋતુ નહોતી. અમે બહુ જ થોડું જોયું અને જે કાંઈ જોયું તે પણ ઉતાવળથી. મુસીબત ઓછી પડી તેનું કારણ એ જ કે વાઈસરૉયને લીધે રસ્તા ઘણી સારી સ્થિતિમાં હતા. વળી જે સડક પર અમે ચાલ્યા હતા તે નવી બાંધેલી હતી. અમે કેટલાક દેખાવો એવા જોયા કે જે કલ્પનામાં અગાડી નહોતા, અને મુસીબતો પણ એટલી ભોગવવી પડી કે જેથી બે ત્રણ જીવની હાનિ થાત. ગમે તેમ હોય તોપણ મને તો એમજ લાગ્યું કે, કોઈ પણ સારી અથવા ખરાબ બાબતનો, ભોક્તા થયા પહેલાં જે વિચાર હોય છે તેમાં ભોક્તા થયા પછી ઘણો જ ઘટાડો થાય છે.+ અહીંની ભાષા જુદી જ છે. હિંદુસ્તાની ભાષા ઘણા માણસો સમજી શકે છે. રાજ્યનું દફતર ફારસી ભાષામાં રાખવામાં આવે છે.


    1.  * એ વાક્ય વાંચી મને બંગાલી બાઈ શ્રી તોરૂદત્તે આવો જ વિચાર, પેાતે લખેલી ‘The Royal Ascetic and the Hind’ એટલે ‘રાજર્ષિ અને મૃગી’ નામની કવિતામાં બતાવેલ છે તે યાદ આવ્યો છે, તેમાંથી નીચેનો ફકરો આપણા અંગ્રેજી જાણનારા વાંચકોને માટે દાખલ કરું છું :

      “Not in seclusion, not apart from all,
      Not in a place elected for its peace,
      But in the heat and bustle of the world,
      ‘Mid sorrow, sickness, suffering and sin
      Must he still labour with a loving soul
      Who strives to enter thro’ the narrow gate.”

      ⁠એ બંગાલી બાઈ આ દેશમાં પેદા થયેલાં સ્ત્રીરત્નોમાં પહેલો નંબર પામે એવાં વિલક્ષણ બુદ્ધિવાળાં હતાં. અમારા દુર્ભાગ્યે એ પૂરાં વીશ વર્ષ જીવવા પામ્યાં નહિ, તોપણ આટલી નાની ઉંમરમાં બંગાલી, સંસ્કૃત વગેરે દેશી ભાષામાં તેમ જ અંગ્રેજી ભાષામાં ‘Sheaf gleaned from French Field’ વગેરે જેવા પંડિતમાન્ય, સરસ અને માર્મિક મોટા ગ્રંથો તેણે લખેલા છે.

  • એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૧૩ મું – સુધારાની માયાજાળ, અને છેલ્લી તૈયારી

    પ્રકરણ ૧૨ મું – ભીષણ સૌંદર્ય થી આગળ

    ઝવેરચંદ મેઘાણી

    સુલેહની સભામાં બેસીને જ્યારે જાપાન દુર્બળ પ્રજાઓના બચાવમાં ગર્જના કરતું હતું, ત્યારે એની પોતાની છાતી થડક થડક થતી હતી. એણે જોયું કે નિર્દોષ શોણિતનો આર્તનાદ દિગ્ દિગન્તરો વીંધીને ચોમેર પહોંચ્યો છે. એના કાળજામાં અવાજ ઉઠ્યો કે શું જવાબ આપવો ?

    અંતરનો સેતાન બોલી ઉઠ્યો કે “સુધારા, સુધારા.”

    ટોક્યોની સરકારે ઢંઢેરો લખીને અમેરિકા મોકલ્યો. વર્તમાનપત્રોએ એ ઢંઢેરો છાપી નાખ્યો. ઢંઢેરામાં જાપાને કોલ દીધેલો હતો કે “કોરીયાની અમારી વ્હાલી પ્રજાને અમે સમાનભાવે સુખી અને સલામત રાખીશું, પગલે પગલે સ્વરાજ્ય બક્ષીશું, લશ્કરી રાજ્યતંત્રને બદલે સીવીલ રાજ્યવ્યવસ્થા સ્થાપીશું, ગ્રામ્ય સ્વરાજ્ય, અને શહેર સુધરાઈખાતું પ્રજાની ચુંટણીના ધોરણ પર ચલાવીશું, ઇન્સાફના તખ્ત સામે જાપાની કે કોરીયન ઉભયનો એક કાયદે ન્યાય કરીશું.” ઢંઢેરો વાંચી વાંચીને પરદેશીઓ પોતાના પોકારને સફળ થયેલો સમજી બેઠા.

    કાળાં કામ કરનારા બે જુના હાકેમોનાં રાજીનામાં મંજુર થયાં. મંજુરીના કાગળમાં જાપાની સચીવ શું લખે છે ? “વર્ષો સુધી ઉજ્જવળ સેવા બજાવનારા આ બે લાયક અધિકારીઓનું રાજીનામુ સ્વીકારતાં મને દુઃખ થાય છે !”

    લશ્કરી રાજ્યનો પલ્ટો આરંભાય છે. એક હાથે જાપાની સચીવ અમેરિકાને કોરીયા પરત્વેની પોતાની મમતાના ખાત્રી પત્રો મોકલે છે, અને બીજે હાથે, કતલ ચલાવવા કોરીયાને કિનારે છ હજાર સૈનિકોનો કાફલો પહોંચાડે છે. ‘સુધારા’નો સંદેશો સંભળાવીને તત્કાળ કોરીયાની છાતી ઉપર ત્રણ હજાર વધુ પોલીસો, અને બસો વધુ અમલદારો બંદુકો લઈને ચડી બેસે છે. અત્યાચાર કરનારો જુનો એક પણ અમલદાર કશી શિક્ષા નથી પામતો.

    અત્યાર સુધી માત્ર ઇસારે કામ ચાલતું, હવે ‘સુધારા’ જાહેર થયા, એટલે લિખિત હુકમોથી પોલીસને ગોળી ચલાવવાની છૂટ મળી. ઉત્સવોની અંદર પ્રજાને સંગીત કરવાનો પ્રતિબંધ, અને પાંચ પાંચ કુટુંબોના મસ્તક પર અક્કેક અમલદારની (નીમણુક) મલ્લકુસ્તીની મનાઇ, ઉજાણીની મનાઈ, પૂર્ણિમાના ઉત્સવોની મનાઈ, અને એ મનાઈના ઉલ્લંઘનની પાધરી શિક્ષા — આંખો મીંચીને ગોળીઓ છોડવાની.

    ઇન્સાફની પ્રથામાં પણ એજ તરેહના સુધારા ! બંદીવાનને કેવળ એકજ પ્રશ્ન પૂછાય. “ફરીવાર કદી પોકારીશ કે ‘અમર રહો મા’ ?” હકારમાં ઉત્તર હોય તો કારાગૃહની અનંત અંધારી યાતનાઓ એની રાહ જોતી. અદાલતમાં આ સવાલનો ઉત્તર એક કુમારિકાએ દીધેલો કે, “છૂટીશ તો ૫હેલી જ તકે હું મારી માતાનું નામ પોકારવાની.” બસ ! કારાગૃહનો ઘોર અંધકાર એ સુકુમાર બાળાના આશામય સંસાર ઉપર ફરી વળ્યો.

    વધુ કર્પીણ રીબામણી, વધુ પિશાચી રક્તપાત, વધુ ને વધુ દમન આરંભાયાં—અને તે બધું, સુલેહ શાંતિને નામે, નિર્દોષ અને શાંત પ્રજાજનોની સહીસલામતીને નામે !

    સુધારાની ઈંદ્રજાળથી આખી દુનિયા ઠગાણી છે, પણ કોરીયા નથી ઠગાયું. જાપાન કોરીયાના અંતરને ઓળખી નથી શક્યું.

    પ્રત્યેક કોરીયાવાસીના પ્રાણમાં આજે ભીષણ કટુતા વ્યાપી રહી છે, અને એ ઝેર જમાનામાં જતાં યે નથી નીકળવાનું. હવે કોરીયા વિચાર નથી કરતું, બુધ્ધિપૂર્વક સમજીને ધિઃક્કાર નથી દેતું, એ ધિઃક્કાર તો એના લોહીના પ્રત્યેક બિન્દુમાં પ્રવેશી ચુક્યો છે, સુધારાનાં છળ કોરીયાના ઝખ્મો નહિ રૂઝાવી શકે. એનું ખૂન પોકારી ઉઠે છે કે “ચાલ્યા જાઓ અમારી ભૂમિ પરથી.” બસ ! એથી કમતી કે વિશેષ કશું યે નહિ.

    કોરીયા અત્યારે સ્વાતંત્ર્યને લાયક છે કે નહિ, આંતરરાષ્ટ્રીય સંબંધોની દૃષ્ટિએ જોતાં જાપાન અત્યારે કોરીયાને મુક્ત કરી શકે કે નહિ,—એ સવાલો વિચારવાની કોરીયા ના પાડે છે. હવે તો એ સવાલ સમજણનો નથી, દારૂણ દર્દનો છે, ઉંડા ધિઃક્કારનો છે, સેંકડો વર્ષોના કારી ઝખ્મોનો છે. કોરીયાનું સંતાન ખીજ નથી બતાવતું, આંખો રાતી નથી કરતું, બહુ ઓછું બોલે છે, પણ એના હૈયાની જ્વાળા ચુપચાપ ભડભડી રહી છે.

    પણ વિસરશો નહિ, ભ્રાંતિમાં પડશો નહિ, કે ક્રોધાંધ બનીને કોરીયા ભાન ભૂલ્યું છે. ના, ના. દુનિયાની નજરે કોરીયા પાગલ બનીને ચુપચાપ પડેલું દેખાય છે. પણ એ દેશના ઉંડાણમાં વ્યવસ્થિત, વિધવિધ ચળવળ ચાલી રહી છે. શાંગાઈ શહેરની અંદર કોરીયાની કામચલાઉ રાષ્ટ્રીય–સરકાર (Provisoinal Government) ની હમણાં જ બેઠક મળેલી, એ કેવળ નાટકીય તમાશો નહોતો. જાપાનને માલૂમ છે કે દેશભરની અંદર એ દેશી રાજ્યતંત્ર ચુપચાપ ગોઠવાઈ ગયું છે, ને રાજ્ય ચલાવી રહ્યું છે. પણ, એની કચેરીઓ ક્યાં ક્યાં છે, એના અધિકારીઓ કોણ છે, એનાં સાધનો ક્યાંથી ચાલ્યાં આવે છે, તેનું ભાન જાપાની જાસુસોને જરા યે નથી. બીજી ભયાનક બીના પણ જાપાની સરકાર જાણે છે. કે પોતાના જ જાસુસો એ ગુપ્ત રાજ્યતંત્રને મદદ કરી રહ્યા છે. પણ જાપાની સરકાર કોઈ સાચા અપરાધીને નથી શોધી શકી. સેંકડો શકદારો પકડાય છે, દારૂણ સજા પામે છે, પણ પેલું ગુપ્ત રાજ્યતંત્ર પ્રતિદિન પ્રબલ બનતું જાય છે. જાપાન ડાચું વકાસીને જોઈ રહે છે. એ ગુપ્ત કોરીયન સરકાર શાંગાઈ, ઈંગ્લાંડ અને અમેરિકા સાથે પત્રવ્યવહાર ચલાવે છે, નાણાં મેળવે છે. ને મોકલે છે. “સ્વતંત્રતા સમાચાર” ની હજારો નકલો છુપી છપાઈને ઘેર ઘેર પહોંચે છે. હજારો કાસદો પકડાય છે, તો યે એ દેવ–સેનાનું દળ ખૂટતું નથી. બાલકો શાળાની અંદર શિક્ષકોની સામે સર્ટીફીકેટો ચીરી નાખે, પુરૂષો “અમર રહો મા” પોકારે, સોલ્જરો મુંઝાઈને સ્તબ્ધ બને છે, કારણ કતલની કે મારપીટની કશી અસર નથી.

    ત્યારે હવે ?

    જાપાન મુંઝાયું છે. માર્ગ સૂઝતો નથી, પિસ્તોલો લાઈલાજ બની છે. એની સન્મુખ બે જ રસ્તા ખુલ્લા છે. કાં તો દેશ છોડી ચાલ્યા જવું, નહિ તો બે કરોડ કોરીયાવાસીઓને, ચુકતે હિસાબે રેંસી નાખવા, એ પ્રજાનું અસ્તિત્વ આ ખલ્કની અંદરથી ઉખેડી નાખવું. ત્રીજો માર્ગ નથી, કારણ, કોરીયાએ આખરની તૈયારી કરી મેલી છે, મોતની પથારી બિછાવી રાખી છે, એકે એક પ્રજાજન—એકે એક—પોતાના પ્રાણ બે હાથમાં ધરીને ઉભો છે. એ બીજા કાંઇ સમજતો નથી. પિતૃભુમિનો પ્રાણ એ પ્રત્યેકને સ્મશાનમાંથી સાદ કરી રહ્યો છે. પ્રકાશની એને પરવા નથી. અંધકારના–મૃત્યુના–અમર ભુવનમાં દાખલ થવા એ તલસે છે. હવે તો એ બીજા કોઈ દયાળુને વ્હારે ધાવા કાલાવાલા કરતો નથી. સાગરને સામે પારથી આશાના સંદેશા નહિ, પણ મૃત્યુના ઘુઘવાટા એ કિનારે બેઠો બેઠો સાંભળે છે, હજારો વીર વીરાંગનાનાં વૃંદ આકાશની અંદર ચાલ્યા જતાં એ નિહાળે છે. એ હસે છે, પ્રેતની પેઠે હસે છે, અમર દુનિયાનાં એ દર્શન કરે છે, અને પળે પળે પાકારે છે. “અમર રહો મા કોરીયા !”

    ફાંસીની સજામાંથી બચી આવેલા ડો. સીંગમાન રી. કોરીયન પ્રજાસત્તાકનો એક મતે ચુંટાયેલો પ્રમુખ. [પા.૨૯]
    શાંગાઇ નગરમાં સ્થપાએલું કામચલાઉ કોરીયન પ્રજાસત્તાક રાજ્ય મંડળ એ કંઈ નાટકીય તમાસો નહોતો. [પા. ૧૦૨]

    ત્યારે હવે જાપાને શું ધાર્યું ?

    નકશા પર નજર કરો. નકશો એનો ઉત્તર દેશે. કોરીયાને કિનારેથી જાપાની તોપો ખસે કે બીજી જ પ્રભાતે જાપાનનો બીજો કોઈ દુશ્મન પોતાની તોપો ત્યાં માંડશે, ને જાપાન ઉપર ગોળા છોડશે, એવી જાપાનને ધાસ્તી છે. પરંતુ એથી યે ઉંડાણમાં પેલી મહદ્ જાપાન બનવાની મુરાદ, કોરીયાની ગુલામીનું સબળ કારણ છે. કોરીયાની અંદર દારૂગોળો અને સેના જમાવી એક દિવસ ચીનનો કબ્જો લેવો, પછી એશિયાના બીજા પ્રદેશો પર પાંખો પસારવી, સામ્રાજ્ય સ્થાપવું, અને આખરે પાસીફીક મહાસાગરની માલીકી માટે મથવું. કદી નહિ છોડે–કોરીયાને જાપાન રાજીખુશીથી કદી નહિ છોડે.

    ત્યારે હવે ? તું શું જવાબ વાળીશ, અયિ બંદિની કોરીયા ? તારી ગરદન તૈયાર છે ને ? ભ્રમણામાં નથી પડવાની કે ? ચિતા ખડકી રાખી છે કે ? ચીસો નહિ પાડેને ? ત્હારાં સંતાનોને જીવતાં સળગાવી દેજે. પણ જોજે હો ! આંખોમાં આંસુ ન આવી જાય. કંઠમાં આક્રંદ ન ઉઠે, હૈયામાં કરૂણા ન ઉભરાય ! અમર રહો, મા કોરીયા.

    સમાપ્ત.

    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

  • તું ભરતી ને હું ઓટ | કાગળ છું

    (૧) તું ભરતી ને હું ઓટ – મુકેશ જોશી

     તું ભરતી ને હું ઓટ
    મને ગમે ભીતર વળવું તું બહાર મૂકે છે દોટ.

     આલિંગનનો લઇ હરખ તું ઠેઠ કિનારે જાય
    મારી બુમે લહેરો પાછી ઘરમાં આવી ન્હાય 
    તું ઉછળે તો લાગે જાણે ઊર્મિનો વરઘોડો
    મારે કારણ ઉદાસીઓને મળે આશરો થોડો
    જળના ઘરમાં રહીએ ક્યાં છે ઝળઝળિયાંની ખોટ .. તું ભરતી ને હું ઓટ

    શીત ચાંદની નર્તન કરતી કેવળ તારા રાગે
    મારે કારણ દરિયા જેવો દરિયો માંદો લાગે
    તારી પાસે જોશ જવાની જાદુ જલસા મંતર
    મારી પાસે જોવા જેવું કેવળ મારું અંતર.
    મારે મંદી તારા ભાયગમાં પણ કાળી ચોટ .. તું ભરતી ને હું ઓટ


    (૨) કાગળ છું – ભગવતીકુમાર શર્મા 

    વાંચીને હવે તું શું કરશે ? ચૂંથાઈ. ગયેલો કાગળ છું;
    વંચાયો હતો ક્યારેક; હવે વિસરાઈ ગયેલો કાગળ છું;

    શંકા ન પડે તે માટે હું ચીરાઈ ગયેલો કાગળ છું;
    છાતીમાં વસેલો છું તોયે ખોવાઈ ગયેલો કાગળ છું.

    ઝાકળની સાથે સ્પર્ધામાં હર રાત ટપકતાં આંસુઓ;
    ખુશ્બૂ તો ગઈ ઊડી; હું હવે ચેહરાઈ ગયેલો કાગળ છું.

    આ રણની સફર એકલવાયા કરવાનું બહુ કપરું નીવડ્યું;
    મૃગજળનો ભરોસો રાખીને ભીંજાઈ ગયેલો કાગળ છું.

    અક્ષર તૂટ્યા, શબ્દો રૂઠ્યા, કાના-માતરથી વૈર પડ્યું;
    ખૂણે ખૂણેથી ફાટીને વિખરાઈ ગયેલો કાગળ છું.

    પારેવાની પાંખેય નહીં; પંખી કેરી ચાંચેય નહીં,
    આંસુભીની આંખેય નહીં; ફેંકાઈ ગયેલો કાગળ છું.

    કાસદ જેવો કાસદ પણ જો ખૂટલ નીવડે તો શું કરવું ?
    ખોટે સરનામે પહોંચીને મૂંઝાઈ ગયેલો કાગળ છું.

  • બિન બાદલ બરસાત (૧૯૬૩)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    હેમંતકુમારનું નામ પડે એટલે ધીરગંભીર, ઘેરો, અને અત્યંત મધુર સ્વર કાનમાં ગૂંજવા લાગે. ગાયક તરીકે તેમણે ગાયેલાં એકે એક ગીતો મધુરતાની ચરમસીમાએ લઈ જતાં લાગે. રીતસર ભાવસમાધિ લગાડે એવાં. તો સંગીતકાર તરીકે તેમણે સંગીતબદ્ધ કરેલાં ગીતોમાં શાંતરસ પ્રધાન. ગીતકાર શકીલ બદાયૂંની સાથે તેમણે ત્રણેક ફિલ્મો કરી હોવાનું ધ્યાનમાં છે. એ પૈકીની બે ‘બીસ સાલ બાદ’ અને ‘સાહિબ, બીવી ઔર ગુલામ’, અને ત્રીજી ફિલ્મ એટલે ‘બિન બાદલ બરસાત’.

    અગાઉની બન્ને ફિલ્મોનું સંગીત યાદગાર બની રહ્યું, તો ‘બિન બાદલ બરસાત’નાં ગીતો પણ લોકપ્રિય થયેલાં. એમાંય હેમંતકુમારના સ્વરે ગવાયેલાં બન્ને ગીતોમાં એમના સ્વરનો જાદુ આજેય અનુભવી શકાય છે.

    ‘ઉત્તમ ચિત્ર’ નિર્મિત, જ્યોતિ સ્વરૂપ દિગ્દર્શીત ‘બિન બાદલ બરસાત’ની રજૂઆત ૧૯૬૩માં થઈ હતી. આશા પારેખ, બિશ્વજીત, નીશી, મહેમૂદ વગેરે કલાકારોની તેમાં મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મનાં કુલ નવ ગીતો હતાં, જે શકીલ બદાયૂંનીએ લખેલાં, અને સંગીતકાર હતા હેમંતકુમાર. આ ગીતો પૈકીનાં બે ગીતો ‘જબ જાગ ઉઠે અરમાન તો કૈસે નીંદ આયે’ અને ‘જિંદગી કિતની ખૂબસૂરત હૈ’ હેમંતકુમારના સ્વરે ગવાયેલાં સદાબહાર એકલગીત હતાં, તો ‘એક બાર જરા ફિર કહ દો, મુઝે શરમા કે તુમ દિવાના’ હેમંતકુમાર અને લતાનું યુગલગીત હતું. આ ઉપરાંત મહમ્મદ રફીનું એકલગીત ‘મરીઝે ઈશ્ક હૂં એ જાનેમન મેરી દુઆ કરના’ તેમજ લતાનાં એકલગીત ‘રાત ખામોશી સે આતી હૈ, જાતી હૈ’, ‘દિલ મેં તેરી યાદ સનમ’નો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં બે ગીતો બબ્બે વખત અલગ અલગ ગાયક/ગાયિકાના સ્વરમાં છે. એ પૈકીનું એક ‘જિંદગી કિતની ખૂબસૂરત હૈ’ હેમંતકુમાર ઉપરાંત લતાનું ગાયેલું એકલગીત છે, પણ ક્યાં હેમંતકુમારનું ગાયેલું ગીત અને ક્યાં લતાનું ગાયેલું! કદાચ સ્વતંત્રપણે લતાએ ગાયું હોત તો એ સુંદર જ લાગત, પણ હેમંતકુમારના સ્વરે સાંભળ્યા પછી બીજા કોઈના સ્વરમાં એ ગીત કાનમાં પ્રવેશી શકે નહીં. એ જ રીતે ‘બિન બાદલ બરસાત ન હોગી’ પણ લતા અને આશાના એમ બન્નેના સ્વરે ગવાયેલું એકલગીત છે.

    આ પૈકીનું લતા મંગેશકરના સ્વરે ગવાયેલા ગીતનો ઉપયોગ ટાઈટલ સોન્‍ગ તરીકે કરવામાં આવ્યો છે, જેના શબ્દો આ મુજબ છે.

    बिन बादल बरसात न होगी…
    बिन बादल बरसात न होगी

    ओ नादानों, ओ दीवानों
    सुन लो हमारी बात
    जालिम दुनियावालों
    यूं ना जादू डालो
    अपने होश संभालो
    देखो जी होशियार
    दिल से हमारे टकराये तो,
    खाओगे खुद ही मार
    बिन बादल बरसात न होगी

    ओ नादानों, ओ दीवानों
    सुन लो हमारी बात

    ટાઈટલ ગીત અહીં સમાપ્ત થાય છે. ગીતનો આટલો ભાગ નીચેની લીન્‍ક પર સાંભળી શકાશે.

    ફિલ્મમાં વચ્ચે આવતું આ જ ગીત આશા ભોંસલેના સ્વરમાં છે. આ ગીતનો લય અને સંગીત ટાઈટલ ગીતની જેમ જ ઝડપી છે, છતાં આશા ભોંસલે દર્દભર્યા સ્વરે એ ગાયેલું છે.

    આ ગીતના શબ્દો આ મુજબ છે, જે તેનો ઉદાસ ભાવ સૂચવે છે.

    बिन बादल बरसात न होगी
    ओ नादानों, ओ दीवानों
    सुन लो हमारी बात
    बिन बादल बरसात न होगी

    ओ नादानों, ओ दीवानों
    सुन लो हमारी बात
    खुशियों पर ना फूलो
    गम को तुम न भूलो
    किरणों में ना झूलो,
    झूठी है बहार
    दुनिया है ये दुनिया इसमें
    गम है खुशी के साथ
    बिन बादल बरसात न होगी

    ओ नादानों ओ दीवानो
    सुन लो हमारी बात
    मुस्काओ ना मन में
    डुबोगे उलझन में
    दुख भी है जीवन में
    खुशियां है बेकार
    दिन बीता तो नागिन बनके
    आयेगी काली रात
    बिन बादल बरसात ना होगी

    ओ नादानों ओ दीवानो
    सुन लो हमारी बात
    सपना है फिर सपना
    छोड़ो ये रंग अपना
    उम्मीदें ना रखना
    होगी इसमें हार
    बीच डगर पे लुट जाएगी
    सपनों की बारात
    बिन बादल बरसात न होगी

    ओ नादानों ओ दीवानो
    सुन लो हमारी बात
    बिन बादल बरसात न होगी
    ओ नादानों ओ दीवानो
    सुन लो हमारी बात

    ગીતનો આ ભાગ નીચેની લીન્‍ક પર સાંભળી શકાશે.


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    ૬૦ ફિલ્મોનાં ટાઈટલ ગીતો આવરી લેતી આ શ્રેણી હાલ પુરતી અહીં પુરી થાય છે.
    હવે પછી નવા વિષય પર ની ફિલ્મી ગીતોની શ્રેણી શરૂ કરીશું.

    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • એક કલાકાર : ગાયકો એકથી વધુ [૮] : કિશોરકુમાર

    નિરંજન મહેતા

    કિશોરકુમાર, એક અદ્વિતીય કલાકાર. ન કેવળ ગાયક પણ ગીતકાર, નિર્માતા. નિર્દેશક અને એક અદાકાર પણ. સ્વાભાવિક છે કે જે ફિલ્મોમાં તેમણે અદાકારી કરી હોય તે ફિલ્મમાં તેમના પર રચાયેલ ગીતો તેમણે ખુદ ગાયા હોય. પણ આ હકીકતમાં પણ અપવાદ છે અને તેવા ગીતો આ લેખમાં પ્રસ્તુત છે.

    સૌ પ્રથમ છે ૧૯૫૪ની ફિલ્મ ‘નૌકરી’ ફિલ્મનું નીચેનું ગીત જે એકદમ પ્રખ્યાત છે.

    छोटा सा घर होगा बादलों की छाँव में
    आशा दीवानी मन में बंसुरी बजाये
    हम ही हम चमकेंगे तारो के उस गाँव में
    आँखों की रौशनी हर दम ये समझाये

    કિશોરકુમાર સાથે છે શિલા રામાની.

    આ જ ગીત એક પાર્શ્વગીત તરીકે આવે છે જે હેમંતકુમારના સ્વરમાં છે.

    બંને ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે સલીલ ચૌધરીએ.

    ૧૯૫૬ની ફિલ્મ ‘ભાગમભાગ’ એક રમુજી ફિલ્મ છે જેનું આ ગીત એક નોકઝોક પ્રકારનું ગીત છે.

    है हमें कोई ग़म है
    तुम्हे कोई ग़म है
    मोहब्बत कर जरा नहीं
    दर किसे कल की खबर

    ગીતમાં કિશોરકુમાર સાથે છે શશીકલા. અન્ય કલાકાર છે ભગવાનદાદા. ગાયકો છે રફીસાહેબ આશા ભોસલે.

    આ ફિલ્મનું અન્ય ગીત છે જે એક પાર્ટી ગીત છે

    ए बाबू ये है ज़माना तेरा
    हे बाबू गा ले तू ख़ुशी का राग दुनिया है भागम भाग
    ए बाबू ये है ज़माना तेरा
    हे बाबू गा ले तू ख़ुशी का राग दुनिया है भागम भाग
    ए बाबू ये है ज़माना तेरा

    ગીતના કલાકરો છે કિશોરકુમાર અને ભગવાનદાદા જેમને સ્વર આપ્યો છે રફીસાહેબ અને કિશોરકુમારે.

    બંને ગીતોના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે ઓ.પી.નય્યરનું.

    ૧૯૫૮ની ફિલ્મ ‘રાગીની’નું ગીત જે ધિક્કાર દર્શાવતું ગીત છે તે કિશોરકુમારનાં સ્વરમાં છે. નશામાં ધૂત કિશોરકુમાર એક નાટ્યગૃહમાં પ્રવેશે ત્યારે આ ગીત ગવાયું છે.

    मुझको बार बार
    मुझको बार बार याद न आ
    बेवफा ओ बेवफा
    मुझको बार बार याद न आ

    સાથે છે પદ્મિની.

    અન્ય ગીત છે જે કિશોરકુમારની વ્યથાને દર્શાવે છે.

    मन मोरा बावरा
    निष् दिन गाये गीत मिलन के
    निष् दिन गाये गीत मिलन के
    मन मोरा बावरा

    આ ગીત માટે કિશોરકુમારને સ્વર આપ્યો છે રફીસાહેબે.

    બંને ગીતના શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત છે ઓ.પી. નય્યરનું.

    ૧૯૫૯ની ફિલ્મ ‘શરારત’નું ગીત છે જે રસ્તા પર ગવાયું છે

    हम मतवाले नौजवान
    मंजिलो के उजाले
    लोग करे बदनामी
    कैसे ये दुनिया वाले
    करे भले हम
    बुरे बने हर दम

    સ્વર છે કિશોરકુમાર

    બીજું ગીત એક ફિલસુફીભર્યું ગીત છે.

    अजब है दास्ताँ तेरी ऐ ज़िन्दगी
    कभी हँसा दिया रूला दिया कभी
    अजब है दास्ताँ तेरी ऐ ज़िन्दगी
    कभी हँसा दिया रूला दिया कभी

    પથારીવશ મીનાકુમારીને ઉદ્દેશીને કિશોરકુમાર પર આ ગીત રચાયું છે પણ સ્વર છે રફીસાહેબનો.

    બંને ગીતના ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર છે શંકર જયકિસન

    ૧૯૬૦ની ફિલ્મ ‘બેવકૂફ’નું આ ગીત હેલનનું નૃત્યગીત છે જેમાં કિશોરકુમારનો સાથ છે પણ સ્વર છે મન્નાડેનો. સાથે છે આશા ભોસલેનો સ્વર.

    धड़का दिल धक् से देखा है जबसे
    मर गए हम तबसे तौबा तौबा हो

    तौबा तौबा

     

    અન્ય ગીત એક રમુજી ગીત છે

    माइकल है तो साइकिल है
    माइकल जो नहीं साइकिल भी नहीं
    अरे माइकल है तो साइकिल है
    माइकल जो नहीं साइकिल भी नहीं

     

    दिल है तो दिलदार भी है
    दिलदार नहीं तो दिल भी नहीं
    दिल है तो दिलदार भी है
    दिलदार नहीं तो दिल भी नहीं

    કિશોરકુમાર અને અન્ય કલાકાર પર આ ગીત રચાયું છે જેને સ્વર આપ્યો છે કિશોરકુમાર અને આશા ભોસલેએ.

    બંને ગીતના રચયિતા છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે સચિન દેવ બર્મન.

     

    બને તેટલુ સંશોધન કર્યા બાદ આટલા ગીતોની નોંધ મળી છે. આશા છે રસિકોને તે પસંદ પડશે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • વામા-વિશ્વ : ઈમ્યૂનિટી બૂસ્ટર ‘લાલ ચા’ની રાણી મુઆની

    લાલ ચ્હા ઑર્ગેનિક ચ્હા છે જેમાં પોષક તત્ત્વોનું પ્રમાણ પણ હોય છે. ખાસ કરીને આર્યન (લોહ) તત્ત્વનું પ્રમાણ વધારે હોય છે જે દૂધ નાખ્યા વગર પીવાય છે અને તેને ‘હાઈ ક્વોલીટી રેડ જંગલ ટી’ કહેવાય

    આલેખનઃ અનુરાધા દેરાસરી

    મીઝોરમ આમ તો ‘સેવનસીસ્ટર્સ’ રાજ્યમાંનું એક સરહદે આવેલું રાજ્ય છે. જ્યાં હજી શિક્ષણનો નહિવત્ પ્રચાર છે, એટલે પહાડીપ્રજા એજ જૂનવાણી વિચારોમાં જીવે છે. જ્યાં ગરીબી, અંધશ્રદ્ધા અને જાતીયભેદના સામાજીક દૂષણો જોવા મળે છે. ‘દીકરીને ખાસ શિક્ષણની જરૂર નથી હોતી’, એવી ત્યાંની પ્રજાની માન્યતા છે. આવા વાતાવરણમાં અને સમાજમાં, ‘લલથલામુઆની’ નામની ૨૨ વર્ષની યુવતી, ભણી એટલું જ નહીં પરંતુ તેણે ચ્હાનો વેપાર શરૂ કર્યો અને ગામના ૩૦૦ ખેડૂતોને તેમાં સામેલ કરી આર્થિક રીતે પગભર કર્યાં.

    ‘મુઆની’ (ટૂંકુ નામ)ની વાત શરૂ થાય છે, નાના ગામ લીઝેનઝોથી. પહાડ પર વસેલું આ ગામ, જ્યાં લોકો અત્યંત જૂનવાણી વિચારના ગામની દીકરીઓ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ભણે અને પછી ગૃહકાર્ય સંભાળે અને ૧૫-૧૬ વર્ષની થતા પરણી જાય, આ તેમના જીવનનું અંત્યબિંદુ.

    આ સામાજીક વાતાવરણમાં મુઆનીએ નાનપણથી નક્કી કરેલું કે, હું ખૂબ ભણીશ અને તે પણ કંઈક આગવું, જે શિક્ષણ મારો અને મારા ગામ લોકોનો વિકાસ કરે. આથી ગામની પ્રાથમિક શાળામાં ભણી, મુઆની આગળ સિક્કીમ ભણવા ગઈ.

    પણ, આ તો ગરીબ ઘરની દીકરી, એટલે માતા-પિતા હાયર એજ્યુકેશનનો ખર્ચો કેવી રીતે ઉપાડી શકે ? એટલે મુઆનીએ ઘરેલું વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું. જેમાં વેસ્ટમાંથી બેસ્ટ કરી શકાય તેવી વસ્તુઓ તેણે લીધી. ઘરની બોટલો જેને પેઇન્ટ કરી, તેના પર શણગાર કરી, તેને વેચવા માંડી. ઉપરાંત મેટસ વગેરે વેચવા માંડી અને હાઈસ્કુલનો ખર્ચો પૂરો કરી બારમાં ધોરણ સુધી ભણી. આ દરમ્યાન, મુઆનીને વ્યાપાર વિષે ઘણું જ્ઞાન મળ્યું. આથી તેણે બીબીએ (બેચલર ઓફ બીઝનેસ એડમિનીસ્ટ્રેશન) કરવાનું નક્કી કર્યું.

    મુઆની જણાવે છે કે, ‘મારી માતા, એક ઘેરથી બીજા ઘેર શાકભાજી વેચતી, આ દરમ્યાન તે કોઈ પણ વ્યાપાર સારી રીતે કેવી રીતે થાય તે વિષે વાતો કરતી. આ માતાની વાતો સાંભળી, મને પહેલેથી વ્યાપાર માટેનો વિચાર આવતો. તેમાં મેં હાઈસ્કૂલની ફી માટે થોડીક વસ્તુઓ વેચી અને મેં ઓન લાઇન માર્કેટિંગ, બજારની વિગતો જાણી, તેને કારણે મને વ્યાપારના વ્યવસાયમાં રસ પડયો અને મેં બીબીએ કરવાનો નિર્ણય કર્યો.’

    બીબીએની ફી માટે, મેં મારી વસ્તુઓને ઓન લાઇન મૂકી અને મારકેટીંગ શરૂ કર્યું. અહીં મને ઘણો અનુભવ મળ્યો, મેં બીબીએ પૂરું કર્યું અને હું મારા ગામ લીઝેનઝોથી પાછી આવી અને અહીં કોઈ વ્યાપાર કરવાનું નક્કી કર્યું.

    કહેવાય છે ને, કે ‘અનુભવ એ જગતનો સૌથી મોટો શિક્ષક છે.’ મુઆનીને તેના નાનીનો અનુભવ કામ લાગ્યો. મુઆનીના નાની વાત વાતમાં હમેશાં કહેતા કે, ‘પાસેના જંગલમાં થતી લાલ ચ્હા એ જુદી જાતની પણ ઉચ્ચ સુગંધવાળી અને સ્વાદવાળી હોય છે. જો તેનો યોગ્ય રીતે સાફ વગેરે કરી, પ્રોસેસ કરવામાં આવે તો સુંદર અને સુગંધીદાર ચ્હા બની શકે, જે ચ્હાના શોખીનો માટે ઉત્તમ પૂરવાર થાય.’ મુઆનીને દાદીની આ વાત યાદ આવી. આથી તેણીએ આ ચ્હાનો વેપાર કરવાનું નક્કી કર્યું.

    કોઈ દિવસ ચ્હાનો વેપાર તો કરેલો નહીં, પરંતુ ભણતર દરમ્યાન પહેલાં ઘરેલું વસ્તુઓનું પ્રત્યેથી વેચાણ અને પછી ઓન લાઇન માર્કેટિંગ અને વેચાણ કરેલું, આથી વ્યાપારનો થોડો અનુભવ હતો અને બીબીએનું ભણતર, આ બેનો સમન્વય કરી મુઆનીએ ‘ઈકોફેર’ નામથી પોતાનું નાનું યુનિટ ઊભું કર્યું. આ સાથે એક-બે ખેડૂતોને આ પ્રોજેક્ટમાં સહભાગી બનાવ્યા. તેમના ખેતરમાં લાલ ચ્હા ઉગાડવાનો વિચાર આપ્યો અને તે વિચારને ખેડૂતો અનુસર્યા. મુઆનીએ પોતાની રીતે લાલ ચ્હાની પ્રોસેસ કરી, પેક કરી વેચી તો આ લાલ ચ્હા ખૂબ ઉપડી.

    લાલ ચ્હા ઑર્ગેનિક ચ્હા છે જેમાં પોષક તત્ત્વોનું પ્રમાણ પણ હોય છે. ખાસ કરીને આર્યન (લોહ) તત્ત્વનું પ્રમાણ વધારે હોય છે જે દૂધ નાખ્યા વગર પીવાય છે અને તેને ‘હાઈ ક્વોલીટી રેડ જંગલ ટી’ કહેવાય છે.

    મુઆનીએ આ ચ્હાની ઘરેલું રીતથી પ્રોડકશન ચાલુ કર્યું. શરૂઆતમાં જ તેના ૫૦૦ પેકેટ વેચાયા. ધીરે ધીરે આ ચ્હાનો વ્યાપાર વધતો ગયો. આ પ્રોજેક્ટને ત્રિપુરા સરકારનો પણ સાથ મળ્યો, આથી મુઆનીનો ‘રેડ જંગલ ટી’નો વેપાર વધી ગયો અને વ્યવસાયિક રીતે વિકાસ પામવા માંડયો.

    મુઆનીએ ધીરે ધીરે ખેડૂતોનો સાથ લેવા માંડયો, જે લોકો ખેતરમાં લાલ જંગલની ચ્હાનો પાક લેવા માંડયા. પહેલાં એક-બે ખેડૂતોથી શરૂઆત થઈ, પછી ત્રણને એમ એમ કરતા આ લાલ ચ્હાના પ્રોજેક્ટમાં ૩૦૦ ખેડૂતોની સંખ્યા આજના સમયમાં જોડાઈ છે. મુઆનીનો ‘રેડ જંગલ ટી’ પ્રોજેક્ટ એક વ્યવસ્થિત બીઝનેસ બની ચૂક્યો છે, જે ‘ઈકોફેર’ દ્વારા ચલાવવાય છે.

    મુઆની કહે છે કે, ‘આ પ્રોજેક્ટ ઘણી મહેનત માગી લે છે, તેમજ તેમાં ઘણી અડચણો પણ આવે છે.’ મીઝારોમના ખેડૂત લોકોની સવાર જલદી શરૂ થાય છે. કારણ કે સવારનાં પાંચ સાડા પાંચ વાગે ખેતરમાં લાલ ચ્હાના પાન ચૂંટવા, મજૂરો આવી જાય છે. આથી ખેડૂતે અને મારે ત્યાં પહોંચી જવું પડે છે. પછી આખો દિવસ તેના પ્રોસેસિંગનું કામ ચાલે છે. એટલે સાંજ પડતાં ખેડૂતો, હું અને પ્રોસેસ કારીગરો થાકી જઈએ છીએ. આથી રાત પડતા સાત-આઠ વાગે વાળુ કરી સૂઈ જઈએ છીએ. આમ મીઝારોમમાં રાત ને સવાર વ્હેલી પડે છે.

    મુઆની માટે સૌથી વધારે ગર્વની વાત તો એ છે કે વિશ્વમાં જ્યારે કોવીડનો પેનડેમિક ફેલાયો ત્યારે લગભગ ૨ વર્ષ ભલભલા ધંધાઓ ઠપ્પ થઈ ગયા હતા અને ભલભલા ખેડૂતો, વેપારીઓ અને અન્યની આર્થિક આવક બંધ થઈ ગઈ હતી અથવા ઓછી થઈ ગઈ હતી, ત્યારે આ મીઝોરમના ૩૦૦ ખેડૂતોની અને રેડ જંગલ ટી પ્રોસેસ કરતા કારીગરોની આવક બંધ થઈ ન હતી. ‘રેડ જંગલ ટી’નું વેચાણ વધ્યું હોવાથી, આ સમયમાં તેની માંગ વધારે હતી.

    હાલના સમયમાં મીઝોરમના નાગાલેન્ડ, આસામ તેમજ આસપાસના ‘સેવન સીસર્ટસ’ રાજ્યોમાં ‘રેડ જંગલ ટી’ની માંગ વધારે છે. આ ઓરગેનીક ચ્હા એક પ્રસ્થાપિત વ્યવસાય તરીકે સ્થાપિત થઈ ચૂકી છે.

    મુઆની આ ‘રેડ જંગલ ટી’ને આખા ભારત દેશ તેમજ વિશ્વકક્ષાએ પ્રમોટ કરવા માગે છે.

    કહેવાય છે ને કે, ‘મન હોય તો જરૂર માળવે જવાય છે,’ છે ને છે…

     

  • સંસ્પર્શ-૨૪

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    મિત્રો, આજે સંસ્પર્શની યાત્રાના અડધા મુકામે પહોંચ્યાં છીએ ત્યારે દાદાની આ નવલકથાઓમાં રજૂ થયેલ તેમની નોખી વિચારસરણીની એક સાવ જુદી જ સ્વાનુભવની વાત કરવી છે. દાદાની બધી જ નવલકથા, તેના પાત્રો, સંવાદો, ધ્રુવગીત આ બધું વાંચતાં જ અને ધ્રુવગીત સાંભળતાં જ હૃદય સોંસરવું કેમ ઉતરી જાય છે ખબર છે? તો ચાલો, મને લખતાં લખતાં થયેલા મારા અનુભવની સરસ વાત કરું.

    મારા દરેક આર્ટિકલમાં હું મારા આલેખન સાથે એક ધ્રુવગીત પણ મૂકું છું. આર્ટિકલ લખાઈ જાય એટલે ધ્રુવદાદાને પણ વાંચવા અને સાંભળવાં મોકલું. એક આર્ટિકલમાં જે ધ્રુવગીત મૂકેલું તે ઈન્ટરનેટ પર કોઈએ દાદાનાં ફોટા સાથે મૂકેલું, મારી ભૂલ કે મેં વધુ તપાસ કર્યા વગર આર્ટિકલ સાથે ધ્રુવગીત માની તે ગીત મૂકી દીધું. દાદાએ સાંભળીને તરત મેસેજ કર્યો, બહેન આ મારું ગીત નથી. કારણ મને જીવનમાં આવો કોઈ માણસ મળ્યો જ નથી, તો હું આવું લખું જ કેવી રીતે?”

    પંક્તિ હતી,

    “કંઈ જ નક્કી નહીં આ તો માણસ કહેવાય,
    બહારથી પોતાનો, અંદરથી બીજાનો નીકળે”

    સૌથી પહેલાં તો મેં તપાસ કર્યા વગર દાદાનો ફોટો જોઈ ગીત ધ્રુવદાદાનાં નામે લખી દીધું તે પહેલી ભૂલ, એટલે કાન પકડ્યા કે પૂરતી ખાતરી વગર દાદા જેવી વ્યક્તિને નામે ગીત ન મૂકાય. તે માટે સૌ વાચકોની પણ ક્ષમા માંગું છું.

    કેટલી મોટી વાત દાદાએ મને સમજાવી દીધી! તેમની લગભગ સિત્તેરથી પંચોતેર વર્ષની જીવનયાત્રામાં તેમને કોઈ આવો માણસ મળ્યો જ નહીં?

    એ ગુરુપૂર્ણિમાનાં દિવસે મને દાદાએ કેટલી સુંદર શીખ આપી!

    દાદાને એમની સિત્તેરથી પંચોતેર વર્ષની જીવનયાત્રામાં કોઈ એવો માણસ મળ્યો નહીં હોય કે દાદાને કોઈનાંમાં દુર્ગુણ દેખાતાં જ નહીં હોય? એમને ઓળખ્યા પછી એવું માનવાનું મન થાય છે. તેમને દરેક માનવમાંથી માત્રને માત્ર સારી વાત કે સદ્ગુણ જ દેખાય છે. આ વિચાર અને વાતે જીવનની ખૂબ મોટી શીખ મળી કે સામેની વ્યક્તિ ગમે તે હોય તેમાંથી સારામાં સારી વાત શોધતાં, જોતાં શીખવું જોઈએ એટલે જ દાદાને અકૂપારનાં ગીરવાસીઓમાં, સમુદ્રાન્તિકેનાં દરિયાનિવાસીઓમાં, અરે! તત્વમસિનાં જંગલમાં રહેતાં અભણ આદિવાસીઓમાં ઉત્તમ ઉપનિષદ,પુરાણો, વેદોની વાણીનાં ભણકારા જ સંભળાય છે.તેમનાં દરેક સ્ત્રી પાત્રો પણ કેટલાં સશક્ત,સબળ અને કૌવતસભર છે. તેમનાં સ્ત્રી પાત્રોને દાદાએ હંમેશા શક્તિ અને જગદંબા જેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ ઉપસાવીને જ નવલકથામાં નિરૂપ્યાં છે. તે અકૂપારની સાંસાઈ હોય, તત્વમસિની સુપ્રિયા હોય કે અગ્નિકન્યાની દ્રૌપદી હોય! દાદા જાણે આપણને સમજાવી રહ્યાં છે કે “કોઈના પણ અવગુણ ચિત્ત ન ધરો.”

    આ વાત કોઈને કહેવા માટે બહુ સહેલી છે પણ જીવનમાં જીવવા માટે બહુ અઘરી છે. પરતું દાદા તેને સતત જીવતા હોય તેવું અનુભવાય છે કારણ તેમનાં આ જ વિચારોની છાયા તેમની બધી નવલકથામાં અને ધ્રુવગીતોમાં દેખાય છે અને અનુભવાય છે.

    દાદાને નાનામાં નાના માણસની સામાન્ય વાતમાં પણ જીવન જીવવાની જડીબુટ્ટીઓ જ દેખાય છે. તત્વમસિનો લક્ષ્મણ મધપૂડાનાં મધ ઉતારવાની સેવા કરતો હતો ,તે પોતાનાં ગયા જન્મની વાત કરી કેવી રીતે મધમાખીઓની સેવાનાં વ્યવસાયમાં પડ્યો તેની વાત કરે છે. ત્યારે નાયક, લક્ષ્મણને ,તે ગયા જન્મમાં માને છે ?તેમ પૂછ છે. જવાબમાં લક્ષ્મણ પૂછે છે,” તમે આ જન્મમાં માનો છો?”અને આ પ્રશ્ન ભલે નવલકથાનાં નાયકનાં સંવાદમાં છે ,પણ તે પોતાના મનના વિચારને દાદાએ સુંદર રીતે દર્શાવ્યો છે.

    લક્ષ્મણનો આ પ્રશ્ન નાયકનાં હૃદયને ખળભળાવી મૂકે છે. તે પોતાની જાતને પૂછે છે,હું આ જન્મમાં માનું છું? અચાનક એને નવો જ અનુભવ થાય છે. ઝરણાં જાણે થંભી ગયાં છે.હવા જાણે સ્થિર થઈ છે. પર્ણોનો ફરફરાટ જાણે ખોવાઈ ગયો છે.આ ખીણ નથી.આ પર્વતો નથી. આ અરણ્યો નથી તો ,આ શું છે?અને નાયકનાં મનમાં પ્રશ્ન ઉદ્દભવે છે.

    હું કોણ છું? કદાચ આ પ્રશ્ન ,આ પ્રશ્નનો જવાબ શોધવાની વૃત્તિ ,આ દેખાય છે તેશું છે તે સમજવાની, પામરમાં અપરમમાં માને છે કે નહીં ? માને છે ,તો તે સત્ય છે કે નહીં તે શોધવાની વૃત્તિ જ આ દેશની ભાતીગળ પ્રજામાં સંતાઈને રહેલું પેલું સામ્ય છે? આ માટીમાં જન્મ લેનારના લોહીમાં ,ધર્મ અને ધર્મથી ઉપરની અવસ્થા વચ્ચેની ભિન્નતાની સાદીસીધી સમજ ઉતારતું તત્વ પણ આ પ્રશ્ન જ છે.કોઈક જન્મમાં કરેલાં કર્મો ,નામ ઋણ સાથે લઈને જન્મતી ,જીવતી – આ પ્રજા હજારો વર્ષોથી એકધારી ટકી રહી છે તેનું રહસ્ય પણ શું આ પ્રશ્ન જ હશે?

    આમ કહી દાદાએ ભારતનાં નાના ગ્રામવાસી લોકોનાં મનોજગતનું પણ અતિ ઉમદા વર્ણન કર્યું છે.કે દરેક ભારતવાસી તે અભણ કે નાના ગામનો કે જંગલવાસી આદિવાસી કેમ નહોય! પણ તેનામાં આ માણસાઈ ભારોભાર ભરેલી છે. અને બીજા કોઈને દેખાય કે ન દેખાય , દાદાને તો તે દેખાય જ છે. કારણ તેમને દરેક માણસનું ઊજળું પાસું જ દેખાય છે.

    આવા ઉમદા વિચારો સાથેનું જ એક ઉમદા ધ્રુવગીત જે બંગાળી બાઉલ પરંપરાનાં ઢાળમાં ખૂબ સુંદર રીતે ગવાયું છે. જીવનની બધી જંજાળમાંથી મુક્ત થઈ ક્યારેક પ્રકૃતિની ગોદમાં જઈને મુક્તજીવન જીવવાની મોજ લેવાની વાત છે.

    કદી તું ઘર તજીને રે….ઓ ..
    વગડે લીલાં ઘાસમાં ઊગ્યા ફૂલમાં ઊડેલી ધૂળમાં તારી જાતને ખોને રે….
    સુખ મોટું કે નામ નથી કાંઈ રે, બાગ બગીચા ગામ નથી કાંઈ રે,

    આવ અહીં તું ઊગવું અને તડકા છાયા રમવા સિવાય કામ નથી કાંઈ;
    અમે છંઈં એમ તું હોને રે..કેટલા સૂરજ કેટલા ચાંદા, ગણવા તારે કેટલા દહાડા,ઓ રે..
    સાંપડ્યો સમય પગથી માથાબોળ જીવી લે, ગણવા જા મા ટેકરા ખાડા રે;
    જાગ્યો ‘તો એમ તું સોને રે….


    સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.