-
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક ચોથો: પ્રવેશ ૫
સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક ચોથો: પ્રવેશ ૪ થી આગળ
સ્થળ : કિસલવાડી પાસે નદીનો કિનારો
[રાઈ રેતીમાં ફરતો પ્રવેશ કરે છે.]
રાઈ : શીતલસિંહે જે બધું કહ્યું તેમાંથી એક વાત તો ખરેખર સાચી છે. તે એ કે લીલાવતીનું સૌંદર્ય અનુપમ છે. એવું સૌંદર્ય મેં આજ સુધી કોઈ સ્ત્રીનું જોયું નથી. હું વસતીમાં કદી રહ્યો નથી, તેથી કદાચ એમ હશે. પરંતુ લીલાવતીનું સૌન્દર્ય અતીવ મનોહર છે એ તો નિઃસંદેહ છે. એવા સૌન્દર્યના ઉપભોગ માટે પર્વતરાયે યૌવન પ્રાપ્તિની ઇચ્છા કરી હોય તો તે ક્ષમા કરવા યોગ્ય છે. પણ, ગયેલું યૌવન કદી પાછું આવતું નથી એ નક્કી છતાં પર્વતરાયે લીલાવતી સાથે લગ્ન કરી તેનું સૌન્દર્ય નકામું કરી નાખી દીધું એ શું વ્યાજબી હતું?
(અનુષ્ટુપ)
સૌન્દર્ય કેરી સંપત્તિ સ્વર્ગથી અહીં ઊતરે;
દૂરવાયા કરવા તેનો અધિકાર ન કોઈને. ૫૦લીલાવતીનું લગ્ન કોઈ યુવાન વીર નરેન્દ્ર સાથે થયું હોત તો તેમનું જીવન કેવું ધન્ય થાત અને દુનિયામનાં દંપતી-રત્નોનું ઔજ્જવલ્ય કેવું પુષ્ટ થાત ! હું પર્વતરાય તરીકે નહિ, પણ જગદીપ તરીકે ગાદીએ હોત તો લીલાવતી જેવી રાણી… (ખેંચાઈને) અરે ! આ શું ? પરસ્ત્રી વિષે લાલસા ભર્યા વિચારને હું મારા ચિત્તમાં પ્રાવેશ કરવા દઉં છું ને વધવા દઉં છું ! આહ ! શીતલસિંહ ! તેં સૌન્દર્યમોહનો કીડો મારા ચિત્તમાં મૂક્યો ! અરે ! પણ, મેં એ કીડાને ટકવા કેમ દીધો ? ટકવા દીધો તો આમ ઊપડી આવ્યો ! પણ ત્યારે, શું મારે સૌન્દર્ય એ વસ્તુનો જ તિરસ્કાર કરવો ?
(ઇન્દ્રવજ્રા)
જે સૃષ્ટિકેરા યશની પતાકા;
જે પ્રેરણાઓ તણી ખાણ મોંઘી
જેનાં ત્રિલોકે ગુણગાના થાય,
સૌન્દર્ય તે શું મુજ દ્વેષ યોગ્ય? ૫૧લીલાવતીનું સૌન્દર્ય પરમ આદરને યોગ્ય છે, પણ આદર પછી કઈ વૃત્તિ ? અહો ! શું એ આદર આ ગૂંચવણ ઉત્પન્ન કરે છે ? ના ! ના ! સૌન્દર્યને અને આ ગૂંચવણને શો સંબંધ છે ? મારે પર્વતરાય થવું પડે ત્યારે પર્વતરાયની રાણી લીલાવતીનું શું કરવું એ જ પ્રશ્ન છે. લીલાવતી સુન્દર હોય કે ન હોય પણ એ પ્રશ્ન તો એનો એ જ છે. શું હું એટલો દુર્બલ છું કે એ સૌન્દર્ય તરફના આદરને લીધે મારા નિર્ણય લઈ શકતો નથી ? એમ હોય કેમ ! સૌન્દર્ય તરફનો આદર એ તો ઉદાર વૃત્તિ છે. એ અધમ વૃત્તિ નથી, પણ વૃત્તિઓનું પૃથ્થકરણ અત્યારે શું કામ આવે એવું છે? (અટકીને) હું કેવો મૂર્ખ ! મને સૂઝયું જ નહિ કે પર્વતરાય થતાં મારે તેની રાણીના પતિ થવું પડશે ! જાલકા મને ‘શાહી અને કાગળનો પંડિત’ કહે છે તે ખોટું છે? જાલકાએ અને શીતલસિંહે તો મને ગાદીનો માલિક બનાવતાં રાણીનો સ્વામી પણ બનાવવા ધારેલો જ, પણ એમણે એ વાત મારાથી ગુપ્ત રાખી. એમને મન ખુલ્લું હતું તેનો મને ખ્યાલ પણ ન આવ્યો એવી મારી પંડિતતા! લાવ, મારી ભૂલના ચિહ્નનો કાપો કાગળ ઉપર નાખતી કોતરી નાખું કે હૃદયનો કાપો ચિત્ર રૂપે મારી આંખ આગળ ધરી શકાય. (ગજવામાંનો કાગળ કાઢે છે. કાગળ ઉઘાડી) આ શું ? મારા લખાણ નીચે જાલકાના અક્ષર ક્યાંથી? એણે શું લખ્યું છે? (વાંચે છે)
“‘રાઈ’ ને ‘જાલકા’ એ તો બાજીનાં સહુ સોકઠાં;”
શું હું માત્ર બાજીનું સોકઠું ? મારું નરત્વ નહિ, મારું વીરત્વ નહિ, ને જાલકા પોતાના પાસા નાખે તેં મને ફેરવે ! જાલકા પોતાને પણ સોકઠું કહે છે એ એની ચતુરાઈ છે, અને એને સોકઠું થવું હોય તો ભલે થાય, હું નહિ થાઉં. બીજી લીટી શી છે? (વાંચે છે.)
“છેતરે કોણ કોને જ્યાં રમે ખેલાડિ એકઠાં?”
આ બધી છેતરપિંડી તે જાલકાને મન રમત છે અને ખેલ છે ! બાજી રમી રહીને રામનારાંએ હસવાનું, તેમ આ સહુ કપટ અને અનીતિને અન્તે અમારે સાહુએ મળી હસવાનું ! એ સૂત્ર મારાથી કબૂલ નહિ થાય. જાલકાએ જાણેલું તે મેં ન જાણેલું એટલો એની વ્યવહારકુશળતાએ વારી પંડિતતાનો પરભાવા કર્યો. તો મારી પંડિતતાનો એ વિજય છે કે એણે ઇચ્છયું તે મેં નથી ઇચ્છયું, અને હું તે નહિ ઇચ્છું. (અટકીને) શું મારી ઇચ્છાને હવે અવકાશ નથી , અને હું બંધાઈ ગયો છું? શીતલસિંહે કહ્યું કે પર્વતરાય થવાથી મારી કબૂલતમાં પર્વતરાયના બધા સંબંધો અને બધા વ્યવહારોનો સ્વીકાર આવી જાય છે. શું પર્વતરાય થવાનું કબૂલ કરતી વખતે મેં લીલાવતીના સ્વામી થવાની ધારાણા કરેલી એમ જ મનાશે? મારા કપટમાં કામવાસનાનો અંશ નહોતો એ વાત શું કોઈ નહિ માને? તે વખતની મારા મનની સ્થિતિ તે કોણ જાણે ? હા ! આ જ સ્થાન હતું . આ નદી બધું જાણે છે !
(હરિગીત)
ઓ ! રંગિણી ! તું સાક્ષિ છે તે સરવા મારા તર્કની,
સંકલ્પ ને સંદેહ મારા તેં સુણ્યા તે રાત્રિયે;
લાવું જગતને તારિ પાસે તો ખરું શું તું ન ક્હે?
કંઈ કંઈ યુગોનું મૌન તુજ, મુજ અર્થા તું તોડે ન શું ? ૫૨અને, મારા મનની એ વિશુદ્ધતા મનુષ્યો કદાચ કબૂલ ન કરે, માટે શું એ વિશુદ્ધતા મારે મૂકી દેવી ? ત્યારે, પર્વતરાય થવું અને લીલાવતીના સ્વામી ન થવું એમાં શી રીતે કરવું ? (અટકીને) એ તો કેવળ અશક્ય છે. કાં તો બન્ને થવું કામ તો એકે ન થવું એ બે જ માર્ગ છે. કોઈ વચલો માર્ગ છે જ નહિ. વચલો માર્ગ ખોળવો એ ભ્રાન્તિ છે. તો સામ સામા બે માર્ગમાંથી ગમે તે માર્ગે આંખો મીંચી ઘસડાઈ જવું? મને ઘસડી જઈ શકે એવો કોઈ વાયુવેગ છે? આ કાગળમાં શું લખ્યું હતું ? (વાંચે છે.)
‘બે રહ્યા તુજ સમીપ માર્ગ જ્યાં,
તું ગ્રહે ઉભયમાંથી એક ત્યાં.’એ ખરી વાત છે. માણસ જાતે જ માર્ગ પસંદ કરે છે. ઘસડાવાનું કહેવું એ માત્ર જવાબદારીમાંથી બચવાનું બહાનું છે. મારા પુસ્તકજ્ઞાનથી લખેલો સિદ્ધાન્ત કેવો અણીને વેળે સહાયકારક થયો ! સિદ્ધાન્ત થયો. (કાગળ ગજવામાં મૂકે છે) હવે નિર્ણયા કરું કે બેમાંથી કયો માર્ગ લેવો ? લીલાવતીનું સ્વામીપણું મૂકી દેતાં પર્વતરાયપણું જશે, કનકપુરની ગાદી જશે, ગુજરાતનું મોટું રાજ્ય જશે, ગુર્જરો પરનું આધિપત્ય જશે, દ્રવ્ય – સુખો – વૈભવના ભંડાર જશે, પુરુષાર્થના પ્રસંગો જશે, સંકલ્પ કરી મૂકેલી ધારાણાઓ જશે, જાલકાના મનોરથ જશે, સ્નેહીઓના સંબંધ જશે.
(આંખો મીંચીને ક્ષણભર સ્તબ્ધ ઊભો રહે છે. પછી આંખો ઉઘાડીને)
(ઉપજાતિ)
જાઓ ભલે જીવન-આશા સર્વે
ઉત્પાત થાઓ ! ઉપહાસ થાઓ !
થાઓ તિરસ્કાર ! વિનાશ થાઓ !
ના એક થાજો પ્રભુપ્રીતિનાશ(ઘૂંટણીએ પડીને) પતિતોદ્ધારક પ્રભુ !
(અનુષ્ટુપ)
સન્મતિ પ્રેરિ છે જેવી, આપજો બલ તેહવું
કે હું સર્વસ્વ છોડીને તમને વળગી રહું. ૫૪ (ઊભો થઈ) હવે મને ભીતિ નથી , શંકા નથી. મારા કર્તવ્યનો માર્ગ સ્પષ્ટ અને સીધો દેખાય છે. આજે હું ઘણે મહિને નિરાંતે ઊંઘીશ.
[જાય છે.]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
નજર ઉતારે છે..
સવાર ને સાંજ ગગનગોખમાં રોજરોજ દીવા થાય છે, ધરતી પણ ખબર ન પડે તે રીતે, રોજરોજ ગરબા ગાય છે. સતત ચાલતી કુદરતની આ પૂજામાં જાણે રિયાઝનો સૂર સંભળાય છે. પણ આજે તો દિવસે અંધારું થયેલું જોયુ!!
આકાશમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ થયું, ત્યારે મનમાં થયું; ઓહોહોહો……
ચંદ્રનું આવરણ કરીને દિવસે અંધારું કરતો આ અનોખો ખેલ તો જુઓ!! જાણે કોઈ પૃથ્વીની નજર ઉતારે છે !
દેવિકા ધ્રુવ
સવાર ઊગે ને સાંજ ઢળે, કોઈ નભને ગોખે, દીવડાઓ પ્રગટાવે છે.
આકાશ,વાદળ સંગ મળી, કોઈ પાઠપૂજાનાં, મધુર ગીત ગવડાવે છે.ગજબ ગવૈયો રિયાઝ કરતો
થનગન થનગન ધરા ફેરવતો,
નિત્ય નજારા નવા ચીતરતો
આવનજાવન કરતો જાણે, વિસ્મયતાલ પૂરાવે છે.
કોઈ ગગનગોખમાં દીવડાઓ પ્રગટાવે છે.કદીક મંગલ મંડપ ગૂંથે,
કદીક વિનાશી તાંડવ ખેલે.
વળી કદી ગ્રહ-તારક ગ્રાસે.
ચાંદનું આવરણ કરીને જ્યારે સૂરજને એ ગ્રાસે છે;
અહો, લાગે ત્યારે જાણે, નજર પૃથ્વીની ઉતરાવે છે!
—Devika Dhruva. | ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
-
વાદ્યવિશેષ : (૧૨) – તંતુવાદ્યો (૮) : સંતૂર ૧
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
મૂળ ઈરાનમાં વિકસેલું આ વાદ્ય કાળક્રમે પખ્તુનિસ્તાન અને અફઘાનિસ્તાનના વિવિધ પ્રદેશોમા થઈને કાશ્મીરમાં પ્રવેશ્યું. આવા પર્વતિય વિસ્તારોમાંનાં વૃક્ષો, ઝરણાં અને નદીઓના કુદરતી નિનાદ જેવી જ ઘેરી, અનુનાદિય અસર સંતૂરના વાદન થકી નિષ્પન્ન થતી અનુભવી શકાય છે.
સંતૂરનો લાક્ષણિક દેખાવ ઉપરની તસવીરમાં જોઈ શકાય છે. અખરોટના વૃક્ષના લાકડામાંથી બનાવવામાં આવેલી ચતુષ્કોણિય રચનામાં સામસામા છેડે ચાર ચાર તાર બાંધેલી પચ્ચીસ હરોળમાં કુલ મળીને એકસો તાર જોવા મળે છે. આ કારણથી આ વાદ્ય પ્રાચીન સમયમાં ‘શતતંત્રી વીણા’ નામે જાણીતું થયેલું. હાલમાં જો કે તેનું અપભ્રંશીય એવું સંતૂર નામ સર્વસ્વીકાર્ય બની રહ્યું છે. વાદન સમયે જે તે તારને અપેક્ષિત સૂરમાં મેળવી લેવામાં આવે છે. આ માટે જરૂરી પાનું તસવીરમાં સામેલ છે. પાનાની બાજુમાં દેખાય છે તેવી બે દાંડી વડે જે તે તાર ઉપર પ્રહાર કરીને સૂર નીપજાવવામાં આવે છે.
મૂળ કાશ્મીરી એવા દિગ્ગજ બહુમુખી કલાકાર પંડીત શિવકુમાર શર્માએ સંતૂરને વૈશ્વિક સ્તરે બહોળી પ્રસિધ્ધી અને લોકપ્રિયતાના શિખર પર લઈ જવામાં સિંહફાળો આપ્યો છે. તેમની વગાડેલી એક ધૂન સાંભળીએ. આમ કરવાથી સંતૂરનો ઘેરો સ્વર અને તેની વાદનશૈલી – એ બન્નેનો પ્રાથમિક પરિચય મળી રહેશે.
હવે માણીએ કેટલાંક હિન્દી ફિલ્મી ગીતો, જેના વાદ્યવૃંદમાં સંતૂરનો પ્રયોગ થયો છે.
૧૯૬૩ના વર્ષમાં રજૂ થયેલી ફિલ્મ તેરે ઘર કે સામનેના ગીત ‘દિલ કા ભંવર કરે પૂકાર’માં સંતૂરના સ્વરો સતત કાને પડતા રહે છે. સંગીતનિર્દેશન સચીનદેવ બર્મનનું છે.
સચીનદેવ બર્મનના જ સ્વરબદ્ધ કરેલા ફિલ્મ મેરી સૂરત તેરી આંખેં (૧૯૬૩)ના માધુર્યથી ભરપૂર ગીત ‘તેરે બિન સૂને નૈન હમારે’ના વાદ્યવૃંદમાં સંતૂરનું પ્રાધાન્ય નીખરી આવે છે.
ફિલ્મ મેરે મહેબૂબ(૧૯૬૩)ના શિર્ષકગીત ‘મેરે મહેબૂબ તૂઝે મેરી મહોબત કી કસમ’માં સંતૂરના કર્ણપ્રિય અંશો માણવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ ગીત પુરૂષ(મહંમદ રફી) અને મહિલા(લતા મંગેશકર) એમ બે સ્વરમાં અલગઅલગ રેકોર્ડ થયું છે. અહીં લતા મંગેશકરનું ગાયેલું ગીત પ્રસ્તુત છે. સ્વરનિયોજન નૌશાદનું છે.
સંગીતકાર ઓ.પી.નૈયરનાં સ્વરબદ્ધ કરેલાં ગીતોએ ફિલ્મ કાશ્મીર કી કલી(૧૯૬૪)ની સફળતામાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. આ ફિલ્મના ગીત ‘તારીફ કરું ક્યા ઉસ કી’ ના મધ્યાલાપમાં સંગીતકારે એક વિશિષ્ટ પ્રયોગ કર્યો છે. ટાઈમર ચાલુ રાખી ને સાંભળતાં 1.52 થી 2.01 સુધી સિતારના અંશો વાગ્યા પછી અને પછી 2.09 સુધી સંતૂરના મૃદુ સ્વરો વાગે છે. 2.10 થી અચાનક જ ગિટારના તોફાની સ્વરો ઉમટી આવે છે. આ પ્રકારના પ્રયોગો બહુ મોટા પાયે થયા નથી.
https://youtu.be/VueN49P7JyU?si=SnrQzbZtzDIjmgHr
૧૯૬૫માં રજૂ થયેલી ફિલ્મ મેરે સનમનાં ઓ.પી.નૈયરે સ્વરબદ્ધ કરેલાં ગીતો તે સમયે લોકપ્રિયતાની ચરમસીમાએ પહોંચ્યાં હતાં. તે ફિલ્મનું એક ગીત ‘હમ ને તો દિલ કો આપ કે કદમોં મેં રખ દિયા’ માણીએ, જેના મધ્યાલાપના વાદ્યવૃંદમાં માં સંતૂરના મધુર અંશો સાંભળવા મળે છે.
ફિલ્મ હમરાઝ(૧૯૬૭)ના રવિના સ્વરબદ્ધ કરેલા ગીત ‘તુમ અગર સાથ દેને કા વાદા કરો’ ના પૂર્વાલાપમાં તેમ જ મધ્યાલાપમાં સંતૂરના મધુર અંશો માણવા મળે છે.
૧૯૭૦ની ફિલ્મ જોની મેરા નામનાં ગીતો બહુ જ લોકપ્રિય થયાં હતાં. સંગીતનિર્દેશન કલ્યાણજી-આણંદજીનું હતું. તે પૈકીનું એક સંતૂરના અંશો ધરાવતું ગીત ‘પલભર કે લીયે કોઈ હમેં પ્યાર કર લે’ માણીએ.
https://www.youtube.com/watch?v=Ni0m9gGKpOY
ફિલ્મ રેશમા ઔર શેરા(૧૯૭૧)નાં ગીતોની તરજ સંગીતકાર જયદેવે બનાવી હતી. તે ફિલ્મનું ગીત ‘તૂ ચંદા મૈં ચાંદની’ સાંભળતી વેળા સંતૂરના પ્રભાવક અંશો આસાનીથી પારખી શકાય છે.
સંગીતકાર ખય્યામે ફિલ્મ રઝીયા સુલતાન(૧૯૮૩)નાં ગીતોની ધૂન તૈયાર કરતી વખતે તે ફિલ્મની ઐતિહાસિક પશ્ચાદભૂને બરાબર ધ્યાને રાખી હતી. તેમણે વાદ્યવૃંદમાં સારંગી, સિતાર અને સંતૂર જેવાં વાજીંત્રોને જ પ્રાધાન્ય આપ્યું હતું. પ્રસ્તુત ગીત ‘એ દિલ એ નાદાન’ સાંભળીએ ત્યારે એ બાબત અનુભવી શકાય છે.
આજની કડીમાં અહીં અટકીએ. કેટલાંક વધુ સંતૂરપ્રધાન ગીતો સાથે આવતી કડીમાં મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
મુજરા ગીતો : हम हाल-ए-दिल सुनायेंगे, सुनिये कि न सुनिये
નિરંજન મહેતા
આ વિષય પર પહેલો લેખ ૨૩ માર્ચ ૨૦૨૪ના દિવસે મુકાયો હતો જેમાં ૧૯૭૦ સુધીના ગીતોને સામેલ કર્યા હતાં. પરંતુ સુજ્ઞ મિત્ર તરફથી તે અગાઉના ગીતોની માહિતી મળી એટલે તેનો સમાવેશ આ લેખમાં કર્યો છે. તે પ્રમાણે જે મુજરાગીતથી શરૂઆત કરૂ છું તે છે
૧૯૫૪ની ફિલ્મ ‘બીરાજબહુ’નુ
दिल मेरा तुझपे सदके नैना तुझपे दीवाने
जग सारा जेन बेदरदी एक तू ही न जाने
न जाने रे न जाने रे न जाने रे
न जाने रे न जाने रे न जाने रेકલાકારના નામની જાણકારી નથી પણ ગીતના શબ્દો છે પ્રેમ ધવનના અને સંગીત આપ્યું છે સલીલ ચૌધરીએ. ગાયિકા છે શમશાદ બેગમ.
૧૯૫૬ની ફિલ્મ ‘સવેરા’નુ આ મુજરા ગીત અશોકકુમાર આગળ પ્રસ્તુત છે
माने ना माने ना माने ना
तेरे बिन मोरा जिया ना मानेપ્રેમ ધવનના શબ્દોને સંગીત આપ્યું છે શૈલેશે જેને સ્વર આપ્યો છે ગીતા દત્તે. નૃત્યાંગના કદાચ મીનાકુમારી લાગે છે.
૧૯૫૬ની અન્ય ફિલ્મ ‘બસંત બહાર’નુ મુજરાગીત છે
जा जा रे जा बलमवा
सौतन के संग रात बिताईચંદ્રશેખર આગળ કુમકુમ આ મુજરો પ્રસ્તુત કરે છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત છે શંકર જયકિસનનુ. ગાયિકા છે લતાજી.
૧૯૫૮ની ફિલ્મ ‘મેહંદી’નુ મુજરાગીત છે
अपने किये पशेमान हो गया
लो और मेरी मौत का सामान हो गयाજયશ્રી ટી પ્રસ્તુત આ મુજરાગીત અજીત આગળ રજુ થયું છે. કુમાર બારાબંકવીના શબ્દો અને રવિનુ સંગીત. સ્વર છે લતાજીનો.
૧૯૫૮ની અન્ય ફિલ્મ ‘મધુમતી’નુ ગીત જોઈએ
तुम्हारा दिल मेरे दिल के बराबर हो नहीं सकता
वो शीशा हो नहीं सकता, ये पत्थर हो नहीं सकता
हम हाल-ए-दिल सुनायेंगे, सुनिये कि न सुनिय
सौ बार मुस्कुरायेंगे, सुनिये कि न सुनिये
हम हाल-ए-दिल सुनायेंगे…શૈલેન્દ્રનાં શબ્દોને સંગીત આપ્યું છે સલીલ ચૌધરીએ જેના ગાયિકા છે મુબારક બેગમ. નૃત્યાંગનાની જાણ નથી પણ મુજરો પ્રાણ સામે થઇ રહ્યો છે.
૧૯૫૯ની ફિલ્મ ‘મૈ નશે મેં હું’નુ મુજરાગીત છે
ये न थी हमारी किस्मत
के विशाल-ऐ-यार होताનૃત્યાંગના છે બેલા બોઝ. મિર્ઝા ગાલીબનાં આ મશહુર ગીતને સંગીત આપ્યું છે શંકર જયકિસને અને સ્વર છે ઉષા મંગેશકરનો. ગીતનો ફક્ત ઓડીઓ પ્રાપ્ત છે.
૧૯૬૨ની ફિલ્મ ‘સૌતેલા ભાઈ’માં પણ જે મુજરો દેખાડ્યો છે તે મોટા ભાગે બેસીને ગવાયો છે
जा मे तोसे नहीं बोलू
जा मे तोसे नहीं बोलू
तोसे नहीं बोलू
जा मे तोसे नहीं बोलूઆ ગીતમાં પણ નૃત્યાંગના છે બેલા બોઝ. શૈલેન્દ્રના શબ્દો અને અનીલ બિશ્વાસનું સંગીત. સ્વર લતાજીનો.
૧૯૬૦ની ફિલ્મ ‘ચૌધવી કા ચાંદ’નુ આ મુજરાગીત ગુરુદત્ત સમક્ષ રજુ થયું છે
दिल की कहानी रंग लाइ है
अल्लाह दुहाई है दुहाई हैમીનુ મુમતાઝ પર રચાયેલ આ નૃત્યગીત માટે શકીલ બદાયુનીના શબ્દો છે જ્યારે સંગીત છે રવિનુ. ગાયિકા આશા ભોસલે.
આ જ ફિલ્મમાં એક વધુ મુજરાગીત છે
बेदर्दी मेरे सैया शबनम है कभी शोले
अन्दर से बड़े जालिम बाहर से बड़े भोलेઆ મુજરાગીત પણ મીનું મુમતાઝ પર રચાયેલ છે. મુજરાગીતમાં જોની વોકર પણ દેખાય છે. શકીલ બદાયુનીના શબ્દો છે જ્યારે સંગીત છે રવિનુ. ગાયિકા આશા ભોસલે
૧૯૬૧ની ફિલ્મ ‘ગંગા જમુના’
आ मतलब का तू मित
बेदर्दी गरज की राखे प्रीतઆ મુજરાગીતમાં હેલન દર્શાવાઈ છે. શકીલ બદાયુનીનાં શબ્દો અને નૌશાદનુ સંગીત. સ્વર છે આશા ભોસલેનો.
૧૯૬૩ની ફિલ્મ ‘મુજે જીને દો’નુ મુજરાગીત છે
रात भी है कुछ भीगी भीगी
चाँद भी है कुछ मद्धम मद्धमવહીદા રેહમાન આ મુજરાગીતનાં કલાકાર છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે જયદેવનુ. ગાયિકા લતાજી. ગીતમાં સુનીલ દત્ત પણ દેખાય છે.
૧૯૬૩ની અન્ય ફિલ્મ ‘યે દિલ કિસ કો દું’નાં આ મુજરાગીતમાં આગાને પ્રસન્ન કરવા બે નૃત્યાંગનાઓ પ્રયત્ન કરે છે.
हमें दम दे के सौतन घर जाना
बैरन घर जानाબે નૃત્યાંગનાઓ છે કમલ અને જયશ્રી. કમર જલાલાબાદીના શબ્દો છે અને ઇકબાલ કુરેશીનુ સંગીત. ગાયિકાઓ છે આશા ભોસલે અને મુબારક બેગમ.
૧૯૬૪ની ફિલ્મ ‘બેનઝીર’નું આ મુજરાગીત એક લગ્ન સમારંભમાં રજુ થયું છે.
बहारो की महफ़िल सुहानी रहेगी
ज़ुबां पर ख़ुशी की कहानी रहेगी
चमकते रहेंगे मोहब्बत के तारे
खुदा की अगर मेहरबानी रहेगीમીનાકુમારી આ મુજરાગીતના કલાકાર છે. શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. લતાજીનો સ્વર.
૧૯૬૬ની ફિલ્મ ‘દેવર’
हाये रूठे सैया हमारे सैया
रूठे सैया क्यों रूठे
ધર્મેન્દ્ર આગળ મુજરો કરે છે બેલા બોઝ જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે રોશનનુ. ગાયિકા લતાજી.
૧૯૬૬ની વધુ એક ફિલ ‘મમતા’
आ हमने उन के सामने
पहले तो खंजर रख दिया
हा फिर कलेजा रख दिया
दिल रख दिया सर रख दियाસુચિત્રા સેન પર રચાયેલ આ મુજરાગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીતકાર છે રોશન. ગાયિકા લતાજી.
૧૯૬૭ની ફિલ્મ ‘ગબન’નુ મુજરાગીત છે
मैं हर रात जागी के इस बार शायद
मोहब्बत तुम्हें इस तरफ़ खींच लाए
तुम्हारी क़सम तुम बहुत याद आए
ना पूछो ये दिन हम ने कैसे बिताएમુજરા કલાકાર છે મીનું મુમતાઝ. શૈલેન્દ્રનાં શબ્દો અને શંકર જયકિસનનુ સંગીત. સ્વર છે લતાજીનો.
૧૯૭૪ની ફિલ્મ ‘પ્રાણ જાયે પર વચન ન જાયે’નુ મુજરાગીત સુનીલ દત્ત આગળ પ્રસ્તુત છે.
मेरे घर सरकार आये
कहिये क्या खातिर करू
मै बड़ी उल्ज़नमें हु
की बात क्या आखिर करूકલાકાર છે જયશ્રી ટી. શબ્દો છે એસ.એચ. બિહારીનાં અને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે. સ્વર છે આશા ભોસલેનો.
આગળના ગીતો હવે પછીના લેખમાં…..
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૪૮. એહસાન રિઝવી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
એહસાન રિઝવી પણ એક ગીતકાર તરીકે ઓછા અને એક પટકથા – સંવાદ લેખક તરીકે વધુ સુખ્યાત હતા. સોથી વધુ ફિલ્મો લખનાર એહસાન સાહેબની પાંચ સફળ ફિલ્મોના નામ લખીએ તો કાફી છે – ફુલ ઔર પથ્થર, વોહ કોન થી, તલાશ, ચોરી મેરા કામ અને મોગલે આઝમ.
૫૦ થી પણ વધુ ફિલ્મોમાં ૩૦૦ જેટલા ગીતો પણ એમણે લખ્યા પણ એ બધી ફિલ્મો ‘૫૦ અને એ પહેલાના દાયકાની હતી. આવી ફિલ્મોમાં બહેરામ ડાકુ, સુહાગ, બડા ભાઈ, મહાત્મા કબીર, રંગીલા અને દામન જેવી ફિલ્મોના નામ ગણાવી શકાય.
એમની બે ગઝલો જોઈએ :
હૌસલે દિલ કે મિટે પ્યાર કે અરમાન ગયે
અપની બિગડી હુઈ તકદીર કો હમ જાન ગયેતુજ સે હોતી ન મોહબ્બત ન બહાતે આંસુ
દિલને ધોકા દિયા હમ તેરા કહના માન ગયેદોસ્ત સમજા થા મગર જાન કા દુશ્મન નિકલા
હટ ગયા આંખોં સે પરદા તુજે પહેચાન ગયે..– ફિલ્મ : ભેદી બંગલા ૧૯૪૯
– લતા
– પંડિત રમાકાંત
( એટલે કે સી રામચંદ્ર ! એમણે જે અલગ અલગ નામે સંગીત પીરસ્યું એમાંનું આ પણ એક નામ ! )
શમા ગુલ કર કે ન જા યું કે જલા ભી ન શકું
રોશની તેરી મોહબ્બત કી મૈં પા ભી ન શકુંબદગુમાં ઇતના ન બન હાથ ઝટકને વાલે
અપની બિગડી હુઈ કિસ્મત કો બના ભી ન સકુંએક હી રાત મેં આંસુ કે ચિરાગ ઇતને જલે
ગમ અગર દિલ કા છુપાઉં તો છુપા ભી ના સકુંજાને વાલે મુજે કિસ રાહ મેં છોડા તુને
યાદ આ ભી ના સકું તુજકો ભુલા ભી ના સકું..– ફિલ્મ : અરબ કા સિતારા – ૧૯૬૧
– મુબારક બેગમ
– સઆદત ખાન
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
બાળ ગગન વિહાર – મણકો – ૩૫ : વાત અમારા નોઆની
શૈલા મુન્શા
ત્રણ વર્ષનો નોઆ ડિસેમ્બર ૨૦૧૭ની મધ્યમાં લગભગ નાતાલની રજાઓ શરુ થતાં પહેલા અમારા ક્લાસમાં આવ્યો હતો. માતા પિતા શિકાગોથી આવ્યા હતા. મૂળ મેક્સિકોના વતની એટલે શિકાગોની બર્ફીલી આબોહવા માફક ના આવી. નોઆ એમનું પહેલું સંતાન એટલે સ્વભાવિક સઘળો પ્રેમ એના પર ન્યોછાવર, અને એ અમને દેખાયું પણ ખરું. સંતાન તો હંમેશાં બધા માતા પિતાની આંખની કીકી જેવા હોય, પણ ઘણીવાર વધુ પડતો પ્રેમ બાળકની પ્રગતિમાં અવરોધ પણ ઊભો કરી શકે.
આજે તો મારે વાત નોઆની કરવી છે.
પહેલા દિવસે નોઆને ગોદમાં ઉઠાવી મમ્મી ક્લાસમાં આવી અને પપ્પા એક હાથમાં મોટી સ્લીપીંગ બેગ પોચો મોટો તકિયો, મખમલી ઓઢવાનું અને બીજા હાથમાં એના ડાયપરની બેગ, વધારાના કપડાં, વેફર્સની મોટી બેગ, ક્લાસ સપ્લાયનું બોક્ષ બધું લઈ અમારી સામે જોતા ઊભા રહ્યા. બે ઘડી અમે પણ એમની સામે જોતા ઊભા રહ્યાં!! આટલો સામાન મુકવો ક્યાં? જાણે નોઆનું ઘર વસાવવાનું હોય એટલો સામાન! મેક્સિકન હોવાં છતાં બન્ને જણા ફાંકડું અંગ્રેજી બોલતાં હતાં. બધી પુછપરછ પુરી થઈ, અને મમ્મીએ નોઆને નીચે ઉતાર્યો. પહેલો દિવસ, અજાણ્યું વાતાવરણ, નોઆનો ભેંકડો તાણવો સ્વભાવિક હતો.
મમ્મી પપ્પા પાંચ દસ મિનીટ બેઠા પણ અમારા કહેવાથી છેવટે ક્લાસની બહાર તો નીકળ્યા પણ દરવાજાની બારીમાંથી થોડીવાર જોતાં રહ્યાં. નોઆ તો થોડીવાર રડીને શાંત થઈ ગયો. અમારું મેજીક શસ્ત્ર સંગીત અને બાળગીતો લગભગ બધા બાળકોને રડવાનું ભુલાવી શાંત કરી દે. આખો દિવસ થોડો ડઘાયેલો રહ્યો, બપોરના બધા બાળકોના સુવાના સમયે એને જરા થાબડ્યો કે એની સ્લીપીંગબેગમાં ભરાઈને સુઈ ગયો. ખરી મજા બીજા દિવસે આવી. સવારે મમ્મી પપ્પા એને મુકવા આવ્યા અને એમના હાથમાંથી મેં નોઆને લેવાનો પ્રયાસ કર્યો ને ધડ દઈને મારા ગાલે એણે એક તમાચો ઝીંકી દીધો. મમ્મીનું મોઢું જોવા જેવું થઈ ગયું, બિચારી સોરી સોરી કરતી રડવા જેવી થઈ ગઈ, માંડ માંડ એને સમજાવી પણ ત્યારથી મમ્મીને અમે કહ્યું કે તમે ક્લાસમાં આવી અને નોઆને મુકી જજો જ્યાં સુધી એ ક્લાસના વાતાવરણથી ટેવાઈ ના જાય.
ધીરે ધીરે નોઆનું રુટીન ગોઠવાવા માંડ્યું અને પંદર દિવસની નાતાલની રજા પડી. રજા પછીનો પહેલો દિવસ તો નોઆ લગભગ આખો દિવસ ઊંઘમાં જ રહ્યો. બીજા દિવસે મમ્મી એને ક્લાસમાં મુકવા આવી ત્યારે થોડી ચિંતીત હતી. અમને પૂછવા માંડી કે નોઆ ક્લાસમાં કોઈને મારે છે? કોઈના ગાલે ચુંટલી ખણી લે છે? અમને નવાઈ લાગી કારણ ક્લાસમાં બે દિવસમાં એનુ વર્તન બરાબર હતું.
મમ્મીની ચિંતા અકારણ નહોતી. નાતાલની રજામાં નોઆના માસી, મામાના બાળકો એમના ઘરે નાતાલની ઉજવણી માટે ભેગાં થયાં હતાં અને નોઆ એમને મારી આવતો, ચુંટલી ખણી લેતો એટલે મમ્મીને જાણવું હતું કે ક્લાસમાં નોઆનુ વર્તન કેવું હતું? ઘરમાં નોઆનું વર્તન અલગ હતું એનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે જે બાળકો ઘરમાં હતા એ કદાચ નોઆને નાનો સમજી મસ્તીમાં ચીડવતા હોય અને એના પ્રતિભાવ રુપે નોઆ મારી આવતો હોય. આમ પણ બાળકો જે જુએ તે શીખે પછીએ સામાન્ય બાળક હોય કે દિવ્યાંગ! ક્લાસમાં નોઆનું વર્તન બરાબર છે એ જાણી એની મમ્મીને ધરપત થઈ. નોઆ ક્લાસના રૂટિનથી ટેવાયેલો હતો અને કોઈ એને છંછેડવાવાળું નહોતું.
પંદર દિવસ ઘરે રહ્યા પછી નોઆ સ્કુલમાં હસતાં હસતાં આવ્યો એ જ અમારા માટે કોઈ ઈનામથી ઓછું નહોતું. મમ્મી પપ્પા તો અમારો આભાર માનતા થાકતા નહોતા. નોઆની પ્રગતિ એમને દેખાતી હતી.
નોઆની વાચા પુરી ખુલી નહોતી, પણ એનું હાસ્ય અને ચમકતી આંખો ઘણુ કહી દેતી.
ક્યાં આવતાની સાથે એક તમાચો ઝીંકી દેનાર નોઆ અને ક્યાં બધા સાથે હળીમળી રમતો નોઆ!!
ભવિષ્યમાં આ ચમકતો તારલો જરુર આસમાનની ઊંચાઈએ પહોંચશે!!!!
અસ્તુ,
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
ઉપનિષદો વિષે ચિંતકો
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના
દિનેશ.લ. માંકડ
માનવ સહજ સ્વભાવ છે કે કોઈપણ વસ્તુનું મૂલ્ય આંકવા તેનું મન ચલાવે.અને જયારે તેને પોતાને અનુકૂળ લાગે ત્યારે સ્વીકારે.એમા પણ જયારે યોગ્ય મૂલ્યાંકનકારનો મત ભળે ત્યારે તેને અહોભાવથી જરૂર ઓળખવા લાગે-તેનું મૂલ્ય સમજે..ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનું ગાન વિશ્વ આખું કરે છે. વેદ -ઉપનિષદ વિષે દેશ વિદેશના અનેક ચિંતકોએ ખુબ મૂલ્યવાન મત પ્રદર્શિત કર્યા છે.
પોતાના એક પ્રવચનમાં સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે –‘ હું જયારે ઉપનિષદોને વાંચું છું ત્યારે મારાં આંસુ વહેવા માંડે છે.એમાં એવી શક્તિ ભરેલી છે કે જે સંપૂર્ણ વિશ્વને બળ, શૌર્ય અને નવજીવન પ્રર્દાન કરી શકે.ઉપનિષદો કોઈપણ દેશ,જાતિ,મત અને સંપ્રદાયનો ભેદ કર્યા વિના પ્રત્યેક દીન,દુર્બળ, દુઃખી અને દલિત પ્રાણીને પોકારીને કહે છે,- ઉઠો,પોતાના પગ ઉપર ઉભા રહો અને બંધનોને કાપી નાખો. શારીરિક આધીનતા, માનસિક સ્વાધીનતા એ જ ઉપનિષદોનો મૂળ મંત્ર છે.‘ દૃઢતાથી આગળ કહે છે ‘ ઉપનિષદો એવી શક્તિ પ્રદાન કરે છે જેના દ્વારા મનુષ્ય જીવન સંગ્રામનો ધીરજ અને સાહસપૂર્વક મુકાબલો કરે છે..જીવનનું પ્રત્યેક ક્ષેત્ર,પછી ભલે એ આધ્યાત્મિક હોય કે ભૌતિક પરંતુ બંનેયમાં ઉપનિષદો જરૂરી છે.‘.
કવિવર રવીન્દ્રનાથ ટાગોર કહે છે,’ ભારતનું ઉપનિષદોનું બ્રહ્મજ્ઞાન સમસ્ત પૃથ્વીનો ધર્મ બનવા લાગ્યું છે. સૂર્ય જયારે બપોરે ગગનમાં પ્રકાશિત થાય એ તેના તેજથી સમગ્ર ભૂમંડળ પ્રકાશમાન બની જાય.’ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે,’ ઉપનિષદોને મૂળ સંસ્કૃતમાં જે કોઈપણ વાંચે છે એ માનવ, આત્મા અને પરમ સત્યના ગૂઢ અને પવિત્ર સંબંધોને પ્રગટ કરનારા,એના ઘણા બધા ઉદગારોના ઉત્કર્ષ કાવ્ય અને વશીકરણથી મુગ્ધ બની જાય છે અને એમાં વહેવા લાગે છે. ઉપનિષદો ,આત્મનિરીક્ષણના રસ્તે અંતર આત્માનો ખોજનો માર્ગ બતાવે છે.એ આપણને આપણા મનની શુદ્ધિ માટેના ભિન્ન ઉપાયોથી અવગત કરાવે છે.’ સંત વિનોબા પોતાના ‘ઉપનિષદ-એક અધ્યયન’ નામક પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે કે ,‘ઉપનિષદની મહિમા અનેકો એ ગાઈ છે .મારી દૃષ્ટિએ ઉપનિષદ એ પુસ્તક નહિ પણ દર્શન છે.ઉપનિષદ મારી માતાની માતા છે .એ જ શ્રદ્ધાથી છેલ્લા બત્રીસવર્ષથી મારુ ઉપનિષદ મનન અને નિદિધ્યાસન ચાલુ રહ્યું છે.‘
આચાર્ય બલદેવ ઉપાધ્યાય કહે છે ,’ભારતીય તત્ત્વજ્ઞાન અને ધર્મસિદ્ધાંતોના મૂળ સ્ત્રોત હોવાનું ગૌરવ ,આ જ ઉપનિષદોને મળેલું છે..ખરેખર ઉપનિષદ એ આધ્યાત્મિક માનસરોવર છે જેમાંથી જ્ઞાનની જુદી જુદી નદીઓ નીકળીને આ પુણ્યભૂમિના માનવમાત્રના સાંસારિક કલ્યાણ તથા આમુષ્મિક ( પારલૌકિક ) મંગળ માટે વહેતી રહે છે.’ તેઓ આગળ ઉમેરે છે ‘ વૈદિક ધર્મની મૂળ તત્ત્વ પ્રતિપાદિકા–પ્રસ્થાનત્રયીમાં મુખ્ય ઉપનિષદ જ છે.બીજા પ્રસ્થાન ગીતાજી અને તથા બ્રહ્મસૂત્ર.-એના ઉપર આધારિત -આશ્રિત છે.‘
શ્રી અરવિંદ કહે છે કે,‘ઉપનિષદોમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં જે આધ્યાત્મિક જ્ઞાન અથવા તત્ત્વ જ્ઞાન પ્રાપ્ત થયું હશે કે થશે, તે બધું આર્ય ઋષિઓએ તેમ જ મહાયોગીઓએ અત્યંત સંક્ષિપ્તરૂપે નિગૂઢ અર્થઘોતક શ્લોકોમાં નિબદ્ધ કર્યું છે.’
વર્તમાન સમયમાં 108 થી પણ વધારે ઉપનિષદો પર વિસ્તૃત રીતે લખીને જનસામાન્ય સુધી પહોંચાડનાર અર્વાચીન ઋષિ તપોનિષ્ઠ શ્રીરામશર્માજી આચાર્ય કહે છે ,’ ‘જેટલું આ જ્ઞાન અઘરું છે તેટલું જ સરળ પણ છે .જેમ
પાણીમાં તરવાનું મુશ્કેલ જણાય પરંતુ સાચી લગન અને પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો એ મુશ્કેલ કાર્ય સરળ બની જાય છે. એજ પ્રમાણે ઉપનિષદોમાં જે બ્રહ્મવિદ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પણ સરળ છે.મુશ્કેલ તો એમને જણાય છે કે જે એનાથી દૂર રહી જોતા રહે છે.અંદર પ્રવેશવાનું સાહસ કરવાની સાથે જ તે સરળ જણાય છે.બ્રહ્મવિદ્યા જેટલી સરળ-સહેલી છે એટલી જ કલ્યાણકારી પણ છે.‘
‘ દેવલોકનું સરનામું આકાશમાં નથી શોધવાનું.દેવલોકનો સંબંધ મૂળે પ્રકાશ સાથે છે.અને પ્રકાશનો ઉપનિષદીય અનુબંધ જ્ઞાન સાથે છે.” યુવાનોને વૈદિક વિચારોથી જોડવાના અદભુત વિચાર સાથે આગવી શૈલીમાં ઉપનિષદ આધારિત ત્રણ પુસ્તકો આપનાર ચિંતક -લેખક ડો.ગુણવંતભાઈ શાહનું આ એક વિધાન કેટલું બધું કહી જાય છે! ઉપનિષદો પર લખતી વખતે ગુણવંતભાઈ વ્યક્ત કરે છે કે,’ શિક્ષણમાં જરૂર કશુંક ખૂટે છે.જેને પરિણામે આપણા ભારતીય વારસા અને વૈભવના મૂળ સુધી પહોંચવામાં સફળ થયા નથી. અભેરાઈ પરથી ઉતરીને યુવાનોના હાથ સુધી ઉપનિષદો પહોંચે એવો સમય ક્યારે પાકશે ?’
આ ઉપનિષદોને મહર્ષિ મનુ જેવા પ્રાચીન મનીષીઓએ ‘अनादिनिघना दिव्या वाक्’ (મનુસ્મૃતિ) એવું બિરુદ પણ આપ્યું
આપણે જાણીએ જ છીએ કે કેટલાય વિદેશી દાર્શનિકો પર ઉપનિષદોનો જબરો અદભુત પ્રભાવ હતો.અરબદેશના અલબેરુની 12 મી સદીમાં જયારે ભારત આવ્યા ત્યારે વેદાંતદર્શન પર મુગ્ધ બન્યા હતા.સંસ્કૃતનું અધ્યયન કરીને ઉપનિષદના સારરૂપ ગીતાજીની વિશેષ પ્રશંસા કરી હતી. શાહજહાંના ભાઈ દારાસિકોહ જયારે કાશ્મીર આવ્યા ત્યારે તેમને ઉપનિષદોના મહિમાની જાણ થઇ એટલે તેમને ઈ.સ.1640 માં કાશીથી પંડિતોને બોલાવીને તેમની સહાયતાથી 50 જેટલાં ઉપનિષદોનું ફારસીમાં ભાષાંતર કરાવ્યું. દારાસિકોહએ ફારસીમાં અનુવાદ કરતી વખતે ભૂમિકામાં લખ્યું છે કે,’ મેં આત્મવિદ્યાના ઘણા ગ્રન્થ વાંચ્યા.પરંતુ મારી ક્યાંય તરસ ન મટી.મેં કુરાન ,તૌરેત ,ઇજ્જીલ ,જાબુર,વગેરે ગ્રંથો વાંચ્યા,એનાથી તરસ ન મટી, ત્યારે હિન્દઓના પુસ્તકો વાંચ્યાં.એમાંથી ઉપનિષદોનું જ્ઞાન એવું છે જેનાથી આત્માને શાશ્વત શાંતિ તથા સાચા આનંદની પ્રાપ્તિ થાય છે.’ હજરત નવીએ પણ એક આયાતમાં આજ પ્રાચીન રહસ્યમય પુસ્તકોની બાબતમાં ઈશારો કરેલ છે.કેટલાંક ઉપનિષદોનો અનુવાદ અકબરના સમયમાં પણ થયો હતો.
અયોધ્યાના નવાબના રેજીડેંટ ગૅન્ટીલે ભિન્ન ભિન્ન અનુવાદોના આધારે કેટલાંક ઉપનિષદોના ફ્રેન્ચ અને લેટિનમાં અનુવાદ કરાવ્યો. જર્મનીના સુપ્રસિદ્ધ દાર્શનિક અર્થર શોપેન હોવરે, આવા અનુવાદોના અધ્યયન અને ખુબ મંથન કર્યા પછી જે કહ્યું તે નોંધવા લાયક છે.’ ઉપનિષદો દ્વારા પરમ લાભ એ વર્તમાન સદી ( 1818 ) નો સહુથી મોરો લાભ છે.ઉપનિષદની અનુપમ ભાવધારાથી જે પરિચિત થશે એના આત્માના ઊંડાણ સુધી હલચલ પેદા થઇ જશે..તેની એક એક પંક્તિ ( મંત્ર ) દૃઢ ,સુનિર્દિષ્ટ અને સુસામંજસ્ય અર્થ પ્રગટ કરે છે.ઉપનિષદ સમાન આટલા ફળોત્પાદક અને ઉચ્ચ ભાવદીપક ગ્રંથ ક્યાંય નથી.એણે મને જીવનમાં શાંતિ પ્રદાન કરી છે અને મરણમાં પણ શાંતિ આપશે.‘ આ શબ્દોની પુષ્ટિ કરતાં અંગ્રેજ તત્ત્વવેત્તા મેક્સ મૂલરે કહ્યું‘ ‘જો શોપન હોવરના આ શબ્દોને કોઈ ટેકાની જરૂર હોય તો હું તે આપવા તૈયાર છુ’
ઈ.સ.1844માં બર્લિનમાં શ્રી શેલીન્ગની ઉપનિષદની વ્યાખ્યાનમાળાને સાંભળીને જાણીતા પાશ્ચાત્ય દાર્શનિક મેક્સમૂલરને, સૌ પ્રથમ વખત સંસ્કૃત સાહિત્ય અને પછી વેદ-ઉપનિષદ પર ચર્ચાની પ્રેરણા મળી.તેમણે 12 જેટલાં ઉપનિષદો પર પોતાના વિચારો પ્રગટ કર્યા છે. Dogmas of Buddhism ગ્રંથના લેખક હ્યુમએ લખ્યું છે કે ,’સોક્રેટિસ ,એરિસ્ટોટલ વગેરે દાર્શનિકોના ગ્રન્થ મેં વાંચ્યા છે પણ જેવી શાંતિમય આત્મવિદ્યા મને ઉપનિષદમાંથી મળી છે તેવી બીજે ક્યાંયથી મળી નથી.’ .Is God Knowable ? નામક ગ્રંથના રચયિતા પ્રો.જી.આર્ક લખે છે કે ‘ મનુષ્યના આત્મિક,માનસિક અને સામાજિક કોયડાઓ કેવી રીતે ઉકેલી શકાય ,એનું જ્ઞાન ઉપનિષદો દ્વારા જ મળી શકે.’ .ઉપનિષદ દર્શનના વિખ્યાત વ્યાખ્યાતા પોલ ડાયસનના મત અનુસાર ‘ ઉપનિષદ પોતાના અવિકૃત રૂપમાં શુદ્ધ નૈતિકતાનો સશક્તતમ આધાર છે. જીવન-મૃત્યુની પીડાઓમાં સૌથી મોટું સાંત્વન -આશ્વાસન છે.’
ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગાઢ નિષ્ઠા ધરાવનારા વિદુષી ડો.એની બેસન્ટ કહે છે, ‘ ભારતીય વારસામાં ઉપનિષદ જ્ઞાન, માનવ ચેતનાની સર્વોચ્ય ભેટ છે.’ સંસ્કૃતના વિદ્વાન બેવરસાહેબનું નામ ઉપનિષદ જ્ઞાનના પ્રચાર -પ્રસારમાં ઉલ્લેખનીય છે.તેમણે દારાશિકોહના ઉપનિષદના અનુવાદોના આધારે જર્મન ભાષામાં બે મોટા ગ્રંથ પ્રકાશિત કર્યા. એલ્વીન ટોફલર કહે છે :’કૃષિક્રાન્તિ પછી ઔદ્યોગિક ક્રાન્તિ આવી અને પછી બાહુબળ, પશુબળ ત્યાર પછી કોલસો, તેલ અને યુરેનિયમ. હવે આ બધું ઘટવા મંડ્યું છે. હવે સૂર્ય તરફ દૃષ્ટિ રાખે છે કે એમાંથી કંઈક ઊર્જા મેળવીએ.આજે ઊર્જાનો પ્રશ્ન છે, પરંતુ ઉપનિષદની રીતે જોઈએ તો એક એક યુવાન ઊર્જાનું જનરેટર છે, એની અંદર અનંત શક્તિઓ પડેલી છે. એને આપણે બહાર લાવવી જોઈએ.’
. પ્રસિદ્ધ અમેરિકન વિદ્વાન અને ચિંતક થોરો કહે છે ,’પ્રાચીન યુગની સર્વ સ્મરણીય વસ્તુઓમાં ભગવદ્ગીતા અને ઉપનિષદો જેટલી શ્રેષ્ઠ વસ્તુ કોઈ નથી. તેમાં એટલું ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાન છે કે તેની સાથે આધુનિક જગતનું સર્વ જ્ઞાન સરખાવતાં તે સર્વે મને તુચ્છ જણાય છે. અને કોઈવાર વિચાર કરતાં મને લાગે છે કે આ તત્ત્વજ્ઞાન કોઈ જુદા જ યુગમાં લખાયું હોવું જોઈએ. હું રોજ પ્રાતઃકાળે મારી બુદ્ધિ અને અંતઃકરણને તેના પવિત્ર જળમાં સ્નાન કરાવું છુ’
જગતગુરુ આદિ શંકરાચાર્ય અને બીજા અનેક દાર્શનિકો-ચિંતકોએ ઉપનિષદોના ભાષ્ય લખ્યાં છે જ.અન્ય ખુબ ઘણા વિદ્વાનોએ તેના પર વિવેચનો પણ કરેલાં છે.જેવાં કે દશરથજી શ્રોત્રિયના મતે ‘ ઉપનિષદો ગુરુ વાક્યછે.’પં. હરિકૃષ્ણજી ઝા ‘જીવાત્માઅને પરમાત્માના એકેય ‘તરીકે મૂલવે છે. કાંચીમઠના પૂર્વ શંકારાચાર્યજી કહે છે,’ ઉપનિષદોનો એક અર્થ છે પરમાર્થ.’. પં ગોવિંદ વલ્લભપંત,’ઉપનિષદોને દાર્શનિક જ્ઞાનના મુખ્ય મૂળભૂત ‘ઝરા ‘ તરીકે મૂલવે છે. એમ.એસ અણે તેમાં ‘ વૈશ્વિક બંધુત્વ ,શાંતિ અને પ્રેમનો સંદેશ’ જુએ છે. સ્વામી વિશુદ્ધાનંદજી પરિવ્રજક તો ‘ ઉપનિષદોને સાક્ષાત કામધેનુ’સાથે સરખાવે છે.
લંડનમાં સેન્ટ જેમ્સ જેવી શાળાઓમાં સંસ્કૃત ફરજિયાત છે, એને પણ એટલો ખ્યાલ આવ્યો કે યુવાનોને ઉપનિષદની વિદ્યા નહિ ભણાવીએ તો આપણું કોઈ ભાવિ નથી. દક્ષિણ આફ્રિકાના ડર્બનની યુનિવર્સિટીમાં પણ સંસ્કૃત ફરજિયાત છે. એવું ક્યાંક વાંચવામાં આવ્યું છે.
મોટાભાગના વિદ્વાનોનું તારણ એ જ છે કે, ‘આ સુવર્ણ ભરેલા ચરુ સમાન ભંડાર ઉપરથી રાખ ખસેડવાની જરૂર છે.. વેદો કહે છે : ‘शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा वयम्।’ અમે અમૃતના પુત્રો છીએ. અમારી અંદર અનંત શક્તિ પડેલી છે. હવે ઉપર આકાશમાં શોધ કરવાની જરૂર નથી.છે’ આવો પંડમાં પડેલા પારસમણિ ને પિછાણીયે .માભોમ ધરતીમાં ધરબાયેલ અમૃતકુંભમાંથી આચમન માટે તત્પર થઈએ.
{ ઋણ સ્વીકાર –
‘ ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના ‘ લેખ શ્રેણી ૨૫ મા લેખ સાથે અહીં પૂર્ણ થાય છે. વેબગુર્જરી સંપાદન મંડળ નો વિશેષ આભારી છું. વાચક મિત્રોનો આભાર પણ કેમ ભુલાય ? આનંદની વાત એ છે વેબગુર્જરીમાં લખવા માટેના એમના ધક્કાથી અંગત રીતે બે લાભ થયા .ઊંડો અભ્યાસ થયો અને એ જ શીર્ષકથી એક પુસ્તક પણ તૈયાર થયું.
પુનઃ આભાર. અને વેબગુર્જરી માટે શુભકામના.
સંજોગ થશે તો કદાચ ફરી મળીશું પણ ખરા.)
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
-
૩૩ કોટિ દેવતા
ધર્મ અને વિજ્ઞાન
ચિરાગ પટેલ
વેદો અને પુરાણોમાં અનેક દેવીઓ અને દેવોના નામ/સ્વરૂપનો ઉલ્લેખ થયો છે. ઘણાં દેવી-દેવતાઓની વર્તમાનમાં પણ ઉપાસના થાય છે, અનેકના સ્વરૂપમાં પરિવર્તન આવી ગયું છે, જ્યારે અનેક કાળક્રમે ભૂલાઈ ગયા છે. સમાજમાં એકતા જળવાઈ રહે એ હેતુથી શ્રી આદિ શંકરાચાર્યે પંચાયતન પૂજા ઉપાસન સૂચવી જેનો સંદર્ભ ઘણાં પુરાણોમાં પણ છે. પંચાયતન પૂજામાં શિવ, શક્તિ, વિષ્ણુ, ગણપતિ અને સૂર્યમાંથી કોઈ એક સ્વરૂપને મુખ્ય માની અન્ય સ્વરૂપો સહિતની પૂજા હોય છે.
વર્તમાનમાં શિવ, શક્તિ, વિષ્ણુ, ગણપતિ, હનુમાન, કાર્તિકેય ઉપાસના સહુથી વધુ પ્રચલિત છે. પરંતુ, સનાતની વૈદિક પરંપરામાં તેત્રીસ કોટિ દેવોની ઉપાસના સ્વીકારાઈ છે. જો કે, ૩૩ કોટીનું અર્થઘટન ૩૩ કરોડ કરીને સનાતન ધર્મને હિન દેખાડવાનો પ્રયત્ન પણ થતો હોય છે. આપણે ૩૩ કોટિ દેવોને બૃહદારણ્યક ઉપનિષદ્ અને અન્ય ગ્રંથોના સંદર્ભ અન્વયે જાણવા પ્રયત્ન કરીએ.
બૃહદારણ્યક
અધ્યાય ૧ બ્રાહ્મણ ૫ મંત્ર ૧૪: એ સંવત્સર જ પ્રજાપતિ છે જેની સોળ કલાઓ છે. પંદર રાત્રીઓ અને એક નિત્ય.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૨: ૩૦,૩૩,૦૦૩ અથવા ૩૩૦૬ (સંસ્કૃત આંકડાનું અર્થઘટન ચોક્કસ નથી) દેવતાઓની વિભૂતિઓ છે. દેવગણ માત્ર તેત્રીસ છે – અષ્ટ વસુ, એકાદશ રુદ્ર, દ્વાદશ આદિત્ય, ઇન્દ્ર, પ્રજાપતિ.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૩: અગ્નિ, પૃથ્વી, વાયુ, અંતરિક્ષ, આદિત્ય, દ્યુલોક (વાતાવરણ), ચંદ્ર, નક્ષત્ર – જેમાં સર્વે સમાયેલું છે એ આઠ વસુઓ.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૪: પુરુષમાં રહેલાં દશ પ્રાણ (ઇન્દ્રિયો) અને આત્મા – જે મૃત્યુ સમયે શરીરમાંથી નીકળે છે અને પ્રિયજનોને રડાવે છે એ અગિયાર રુદ્ર.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૫: વર્ષના બાર મહિના આદિત્ય છે જે સર્વેને સાથે લઈને ચાલતા રહે છે.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૬: ગર્જનશીલ મેઘ કે વિદ્યુત ઇન્દ્ર છે. યજ્ઞ એટલે કે પશુ એ પ્રજાપતિ છે.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૭: પૃથ્વી, અગ્નિ, વાયુ, અંતરિક્ષ, દ્યૌ (વાતાવરણ), આદિત્ય – એ છ દેવગણ છે, એ જ સર્વ કાંઈ છે.
અધ્યાય ૩ બ્રાહ્મણ ૯ મંત્ર ૮-૯: સમસ્ત દેવગણ જ્યાં નિવાસ કરે છે એ ત્રણ લોક જ ત્રણ દેવતા છે. અન્ન અને પ્રાણ બે દેવતા છે. જે વહે છે એ વાયુ દોઢ દેવતા છે. પ્રાણ જ એક દેવતા છે, એ જ બ્રહ્મ છે અને એને જ તત્ કહે છે.શતપથ બ્રાહ્મણમાં આઠ વસુઓ, અગિયાર રુદ્ર, બાર આદિત્ય, સ્વર્ગ (દ્યૌ), પૃથ્વી અને પ્રજાપતિ એમ ચોત્રીસ દેવતા છે.
ઐતરેય બ્રાહ્મણ:
વ્યક્તિરૂપ દેવ: ઇન્દ્ર (શક્ર), વરુણ, મિત્ર, અર્યમાન, ભગ, અંશ, વિધાતા (યમ), ત્વષ્ટા, પૂષન્, વિવસ્વત્ (સૂર્ય), સવિતૃ (ધાતૃ), વિષ્ણુ
આંતરિક દેવ: આનંદ, વિજ્ઞાન, મનસ્, પ્રાણ, વાક્, આત્મા, પાંચ રુદ્ર – ઇશાન, તત્પુરુષ, અઘોર, વામદેવ, સદ્યોજાત
પ્રાકૃતિક દેવ: પૃથ્વી, અગ્નિ, અંતરિક્ષ, જળ, વાયુ, દ્યૌ, સૂર્ય, નક્ષત્ર, સોમ
સર્જક દેવ: વષટ્કાર, પ્રજાપતિરામાયણ અને મહાભારત કે વિવિધ પુરાણો પ્રમાણે અદિતી અને કશ્યપના સંતાનો એવા આ તેત્રીસ દેવો છે. એ આઠ વસુઓ ધરા(પૃથ્વી), આપ (જળ), અગ્નિ, અનિલ (વાયુ), પ્રત્યુષ (સૂર્ય), પ્રભાસ (આકાશ), સોમ (ચંદ્ર), ધ્રુવ (ઉત્તરનો સ્થિર તારો) છે. બૃહદારણ્યકથી ભિન્ન મત પ્રમાણે, આ ગ્રંથોમાં બે અશ્વિનીકુમારો ઇન્દ્ર અને પ્રજાપતિને બદલે હોય છે. અમુક સંદર્ભમાં ૧૨ આદિત્યોના નામ – ઇન્દ્ર, અર્યમાન, ત્વષ્ટ્ર, વરુણ, ભગ, વિવસ્વત્ (સૂર્ય), સવિતૃ, અંશ, મિત્ર, પૂષન્, દક્ષ, વિષ્ણુ; એ પ્રમાણે હોય છે. ૧૧ રુદ્રના નામ – અજ, એકપદ, અહિર્બુધ્ન્ય, ત્વષ્ટા, રુદ્ર, હર, શંભુ, ત્ર્યંબક, અપરાજિત, ઇશાન, ત્રિભુવન હોય છે. અશ્વિનીકુમારો સૂર્ય અને સંજ્ઞાના પુત્રો છે.
વિવિધ સંદર્ભો જોતાં એવું લાગે છે કે, દેવતાઓ માત્ર ૩૩ કે ૩૪ જ છે પરંતુ તેમના નામ અને ચોક્કસ નિરૂપણ અંગે મતભેદ છે. એવું માની શકાય કે મૂળભૂત વૈદિક દેવો એ જે-તે પ્રાકૃતિક શક્તિ કે બળનું નિરૂપણ હતાં અને કાળક્રમે મૂળ સંદર્ભ ભુલાઈ ગયો. પુરાણોમાં વિવિધ વાર્તાઓ રૂપે એ દેવોને સાચવી લેવામાં આવ્યાં જેથી જનસામાન્ય તેમને ભૂલી ના જાય. મૂળ સનાતન ધર્મ પ્રકૃતિના તત્વો સાથે તાદાત્મ્ય સાધી વૈશ્વિક ચેતના સાથે એકરૂપ થવાની વિવિધ પદ્ધતિઓ ધરાવતો હતો જેનો નિર્દેશ વેદોમાં છે.
દૃષ્ટિ હવે આકાશ પ્રત્યે માંડીએ અને ૨૭/૨૮ નક્ષત્રોને ભિન્ન પરિપ્રેક્ષ્યમા જોવા પ્રયત્ન કરીએ. સર્વે નક્ષત્ર દક્ષ પ્રજાપતિની પુત્રીઓ અને ચંદ્રની પત્ની છે.
નક્ષત્ર દેવ ગ્રહ આકાર રાશિ તારો અશ્વિની/અશ્વયુજ અશ્વિનીકુમારો કેતુ અશ્વ મેષ Seratan/Beta, Gamma Arietis ભરણી (ધારક) યમ/ધર્મ શુક્ર યોનિ મેષ 35, 39, 41 Arietis કૃત્તિકા/કાર્તિકા (છેદન કરનાર) અગ્નિ સૂર્ય છરી/ભાલો મેષ, વૃષભ Pleiades રોહિણી (રક્તિમ) પ્રજાપતિ/બ્રહ્મા ચંદ્ર રથ/મંદિર/વડ વૃષભ Aldebaran મૃગશિર્ષ સોમ મંગળ હરણનું માથું વૃષભ, મિથુન Meissa/Lambada, Phi Orionis આર્દ્રા (ભીંજાયેલું) રુદ્ર રાહુ આંસુ/હીરો/મનુષ્ય મસ્તક મિથુન Betelguese પુનર્વસુ (ધર્મના પુનઃસ્થાપક) અદિતી ગુરુ ધનુષ, બાણ મિથુન, કર્ક Castor, Pollux પુષ્ય (તિષ્ય, પોષક) બૃહસ્પતિ શનિ ગાયનું આંચળ/કમળ/બાણ/વર્તુળ કર્ક Gamma, Delta, Theta Cancri આશ્લેષા (વીંટળાયેલું) સર્પ/નાગ/રાહુ બુધ સર્પ કર્ક Delta, Epsilon, Eta, Rho, Sigma Hydrae મઘા (ઐશ્વર્યવાન) પિતૃ કેતુ રાજવી સિંહાસન સિંહ Regulus પૂર્વ ફાલ્ગુની (પ્રથમ રક્તિમ) અર્યમાન શુક્ર અંજીર વૃક્ષ/પારણું/પલંગના પાયા સિંહ Delta, Theta Leonis ઉત્તર ફાલ્ગુની (અન્ય રક્તિમ) ભગ સૂર્ય પારણું/પલંગના પાયા સિંહ, કન્યા Denebola હસ્ત (હાથ) સવિત્રુ ચંદ્ર મુઠ્ઠી કન્યા Alpha, Beta, Gamma, Delta Corvi ચિત્રા (તેજસ્વી) ત્વષ્ટા/વિશ્વકર્મા મંગળ પ્રકાશિત રત્નો/મોતિ કન્યા, તુલા Spica સ્વાતિ (અતિ શુભ) વાયુ રાહુ પરવાળું/છોડની ડાળ તુલા Arcturus વિશાખા (શાખાઓ વાળું) ઇન્દ્ર, અગ્નિ ગુરુ કુંભારનો ચાકડો/કીર્તિ તોરણ વૃશ્ચિક Alpha, Beta, Gamma, Iota Librae અનુરાધા (ઇન્દ્રને અનુસરનાર) મિત્ર શનિ કીર્તિ તોરણ/કમળ/વાંસ વૃશ્ચિક Beta, Delta, Pi Scorpionis જ્યેષ્ઠા (અગ્રજ શ્રેષ્ઠ, વડીલ) ઇન્દ્ર બુધ છત્ર/કુંડળ વૃશ્ચિક Alpha, Sigma, Tau Scorpionis મૂલ નિરુતિ/વરુણ કેતુ મૂળની ઝૂડી/હાથી માટે અંકુશ ધનુ Epsilon, Zeta, Eta, Theta, Kappa, Lambada, Mu, Nu Scorpionis પૂર્વ આષાઢા (પ્રથમ અપરાજિત) આપ: (જળ) શુક્ર હાથીદાંત/પંખો/શકોરું ધનુ Delta, Epsilon Sagittarii ઉત્તર આષાઢા (અન્ય અપરાજિત) વિશ્વેદેવ/બ્રહ્મા સૂર્ય હાથીદાંત/નાની શૈયા મકર Zeta, Sigma Sagittarii અભિજીત (વિજેતા) [1] બ્રહ્મા ગુરુ વીણા/કમંડળ મકર Lyrae શ્રવણ વિષ્ણુ ચંદ્ર કાન/ત્રણ પગલાં મકર Alpha, Beta, Gamma Aquilae ધનિષ્ઠા (પ્રખ્યાત)/શ્રવિષ્ઠા (અતિ ઝડપી) અષ્ટ વસુ મંગળ વાંસળી/ડમરું મકર, કુંભ Alpha, Beta, Gamma, Delta Delphini શતભિષા (સો ઔષધિઓ યુક્ત) વરુણ રાહુ વર્તુળનો પરિઘ/પુષ્પ ગુચ્છ કુંભ Gamma Aquarii પૂર્વ ભાદ્રપદા (પ્રથમ શુભ પગલું) એકપદ શિવ/નાગ ગુરુ બે તલવાર/દ્વિમુખી પુરુષ/ ઠાઠડીના આગળના બે પાયા કુંભ, મીન Alpha, Beta Pegasi ઉત્તર ભાદ્રપદા (અન્ય શુભ પગલું) અહિર્બુધ્ન્ય/વાસુકિ શનિ જોડકાં/જળ સર્પ/ઠાઠડીના પાછલા બે પાયા મીન Gamma Pegasi, Alpha Andromedae રેવતિ (ઐશ્વર્યવાન) પૂષન્ બુધ મીન જોડકું/ડમરું મીન Zeta Piscium પ્રત્યેક નક્ષત્રના નામકરણ માટે ચોક્કસ તર્ક છે. જેમ કે, આકાશગંગાનું કેન્દ્ર મૂળ નક્ષત્રમાં છે. જ્યેષ્ઠા નક્ષત્રનો તારો Antares દ્રશ્ય આકાશનો સહુથી મોટા તારાઓમાંનો એક છે, જાણે કે સર્વેનો વડીલ. સ્વાતિ નક્ષત્રનો તારો Arcturus રક્તિમ-વિરાટ Red Giant છે, એટલે જાણે છીપમાં રહેલું મોતિ હોય એવો છે. પ્રત્યેક નક્ષત્રનો આકાર કોઈ દેવી કે દેવતાનું આયુધ હોય એવો જણાય છે. એ વિષેની ચર્ચા અન્ય લેખમાં કરીશું.
હાલ તો નક્ષત્રોનો ઉલ્લેખ કરવા પાછળ મારો એક જ હેતુ છે. સર્વે અવકાશી આકારો પણ દેવ-દેવીનું નિરૂપણ છે. વેદોની ઘણી કથાઓમાં ખગોળીય સંદર્ભ છે જે પરથી આપણને વૈદિક દેવો અંગે અછડતો નિર્દેશ સાંપડે છે. વસિષ્ઠ અને અગસ્ત્ય મિત્રાવરુણ અને ઊર્વશીના સંતાનો છે જેમનો જન્મ કુંભમાં થયો હતો, એવી કથા ઋગ્વેદમાં છે. શતભિષાના દેવતા વરુણ અને રાશિ કુંભ છે. પૂર્વ આષાઢાના દેવતા આપ: (જળ) છે અને અપ્સરા જળમાંથી જન્મેલી કહેવાય છે. અનુરાધાના દેવ મિત્ર છે. વસિષ્ઠ ઉત્તર ધ્રુવ પાસેના સપ્તર્ષિ મંડળમાં રહેલો તારો Mizar છે. અગસ્ત્ય દક્ષિણમાં આવેલા ગ્રીક નક્ષત્ર Carinaમાં આવેલો તારો Canopus છે. અગસ્ત્ય તારો આશરે ૫૨૦૦BCE થી વિંધ્યાચળથી ઉત્તરના વિસ્તાર સુધી દેખાતો થયો છે. ૨૫-૨૭,૦૦૦ વર્ષનું ચક્ર લેતાં લગભગ ૧૯,૮૦૦-૨૧,૮૦૦ વર્ષ પહેલાં એ તારો વિંધ્યાચળથી ઉત્તર દિશામાં દેખાવો બંધ થયો હતો, જે અગસ્ત્ય ઋષિના વિંધ્યથી દક્ષિણ ગમનની વાર્તા સાથે સુસંગત છે.
દેવી કવચમાં માતૃકાઓનું તેમના વાહન સાથે વર્ણન આવે છે. બ્રહ્મચારિણી હંસ પર આરુઢ હોય છે. Cygnus ગ્રીક નક્ષત્રનો આકાર હંસ જેવો છે જે ધનુ રાશિ જોડે છે. એની બાજુમાં Lyrae એટલે કે વીણા/કમંડલ નક્ષત્ર છે. ધનુ રાશિના નક્ષત્ર ઉત્તર આષાઢાના દેવ બ્રહ્મા છે. આપણે અહિ બ્રહ્મા અને સરસ્વતીનું યુગ્મ પણ જોઈ શકીએ છીએ.
સંપૂર્ણ છણાવટ કરવા માટે એક પુસ્તક જેટલી ચર્ચા કરવી પડે. એટલે આ લેખ પૂરતું અહિ અટકીએ.
|| ૐ તત્ સત્ ||
[1] *** આધુનિક જ્યોતિષમાં અભિજીત સ્વતંત્ર નક્ષત્ર તરીકે ગણાતું નથી.
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com
-
પ્રિયજન’ના પ્રિય સર્જક વીનેશ અંતાણી સાથે વાર્તાલાપ
દર્શના ધોળકિયા
કચ્છ પ્રદેશ માટે આજે એક ગૌરવપ્રદ ઘટના ઘટવા જઇ રહી છે. આપણા પ્રદેશના રાષ્ટ્રીય સ્તરના સર્જક એવા શ્રી વીનેશ અંતાણીની અત્યંત લોકપ્રિય બનેલી કૃતિ ‘ પ્રિયજન’ ની ૨૦ મી આવૃતિનું તાજેતરમાં હુજ મધ્યે વિમોચન થયું છે. આ કૃતિને પ્રેમોપનિષદ તરીકે ઓળખાવવી મને ગમી છે. પ્રેમનો એક નવો જ અર્થ આ કૃતિમાં ઉઘડે છે. કૃતિમાંથી પસાર થતાં એક નવલકથા પુરી કરી છે એવું લાગવાને બદલે વેદનાનું વન પસાર કર્યાની લાગણીથી ભાવક ઘેરાઈ જાય છે. આ કૃતિને પ્રગટ થયે સાડા ચાર દાયકા જેટલો સમય પસાર થયા છતાં આ કૃતિની લોકપ્રિયતા અકબંધ સચવાઇ છે. કૃતિની પ્રશિષ્ટતાનું આ પ્રમાણ છે. આજની આ સુભગ ક્ષણે પ્રિયજનના સર્જકને સમગ્ર પ્રદેશ વતી અભિવાદતાં એમનો સાક્ષાત્કાર માણીએ.
દ.ધો. : વીનેશભાઈ, પહેલાં તો ‘પ્રિયજન’ની આવી સફળતા માટે અભિનંદન. એ સંદર્ભમાં થોડી વાત કરીએ. તમે ‘પ્રિયજન’ ઉપરાંત બીજી પણ અનેક ઉત્તમ કૃતિઓનું સર્જન કર્યું છે. એમાં ‘પ્રિયજન’નું શું સ્થાન છે?
વી.અં : પ્રિયજન મારી ચોથી નવલકથા. ૧૯૮૦માં પહેલી આવૃત્તિ છપાઈ. એને પિસ્તાલીસ થયાં છતાં વર્ષો પછી પણ લોકો એ જ ચાહના સાથે એ વાંચે છે. આ મારા માટે અદ્ભુત ઘટના છે. મેં ધાર્યું નહોતું કે મારી કોઈ નવલકથાને દરેક પેઢીના વાચકોનો આવો સ્નેહ મળશે. ‘પ્રિયજન’નું મારા સર્જનમાં શું સ્થાન છે એથી વિશેષ હજારો વાંચકોના દિલમાં એનું શું સ્થાન છે એનો છે. હું ઇચ્છું તો પણ મારી કોઈ કૃતિને ‘પ્રિયજન’થી આગળ મૂકી શકું તેમ નથી. હું માનું છું કે ‘પ્રિયજન’ને મળેલી લોકચાહનાએ ગુજરાતીમાં પ્રશિષ્ટ કૃતિની લોકપ્રિયતાના માપદંડ બદલી નાખ્યા છે. હવે આ નવલકથા જેટલી મારી છે એથી વિશેષ વાચકોની બની ગઈ છે. હું ઘણી વાર ‘પ્રિયજન’ને મારી દુશ્મન નવલકથા કહું છું. એનું કારણ છે – લોકો મારી અન્ય નવલકથાઓ વાંચે છે, વખાણે છે અને પછી છેલ્લે કહે છે: ‘તમારી આ નવલકથા પણ બહુ સારી પણ ‘પ્રિયજન’ની કક્ષાએ ન આવે.’ મારી પાસે એનો કોઈ જવાબ હોતો નથી.
દ.ધો : ‘પ્રિયજન’ની સીમાચિહ્નરૂપ વીસમી આવૃત્તિનું લોકાર્પણ અને સ્વાગત કરવા માટે પહેલો કાર્યક્રમ યોજવા તમે ભુજની પસંદગી કેમ કરી ?
વી.અં : મેં ‘પ્રિયજન’ ભુજમાં લખી. તે પહેલાં એ જેના પરથી લખાઈ તે રેડિયોનાટક ‘માલીપા’ પણ મેં ભુજમાં લખ્યું અને આકાશવાણી-ભુજના સ્ટુડિયોમાં એનું પ્રોડક્શન કર્યું. ત્યાંથી જ એ પહેલી વાર પ્રસારિત થયું અને આવકાર પામ્યું. આમ ભુજનું અજવાળું, એની હવા, એની સુગંધ, એના અવાજો એમ બધું જ ‘પ્રિયજન’ની સાથે જોડાયેલું છે. નવલકથામાં આવતાં કેટલાંક સ્થળો પણ ભુજ અને આસપાસનાં વિસ્તારનાં છે. મારી અને પુષ્પાની લેખન અને કળાપ્રવૃત્તિનાં મૂળિયાં ભુજમાં નખાયાં છે. ભુજ અમારું માત્ર ફિઝિકલ વતન નથી; અમારી ચેતના, અમારાં સંવેદન, અમારા સંબંધો અને સમજનું પણ વતન છે. ભુજે અમને શીખવ્યું છે કે પ્રિયજન હોવું એટલે શું. અને સૌથી મહત્ત્વની વાત કે અમારાં કેટલાંય મિત્રો-પ્રિયજનો ભુજમાં રહે છે. એમની હાજરીમાં જ ‘પ્રિયજન’ની વીસમી આવૃત્તિના પ્રકાશનનો લેન્ડમાર્ક પ્રસંગ સૌ પ્રથમ ભુજમાં ઉજવાય એ નિર્ણય સ્વાભાવિક રીતે જ લેવાયો હતો.
દ.ધો : આપે ‘પ્રિયજન’ યુવાવસ્થામાં લખી, તેમ છતાં એમાં જે પ્રૌઢી આવી એનું રહસ્ય શું ?
વી.અં : દર્શનાબહેન, આ સવાલનો જવાબ આપવો થોડો મુશ્કેલ છે. મને લાગે છે કે એ માટે સમજાય નહીં એવાં કારણો હશે. મેં ‘પ્રિયજન’ લખી ત્યારે મારી ઉંમર તેંત્રીસ-ચોંત્રીસ વર્ષની હતી. એ ઉંમર સુધીમાં મારા જીવનમાં ઘણા સારા-માઠા પ્રસંગ બન્યા હતા. જીવનમાં આવેલા કેટલાક દુ:ખદ પ્રસંગો તમને નાની વયથી માનસિક રીતે પુખ્ત બનાવી દે છે. સારા પ્રસંગો સંબંધ અને પ્રેમનું મહત્ત્વ સમજાવે છે. મારા અંગત અનુભવ પરથી હું પ્રેમ અને લગ્નજીવન વિશે હંમેશાં માનતો આવ્યો છું કે બંનેમાં પ્રેમ અને સમજનું ખૂબ મહત્ત્વ છે. જીવનમાં જે ન મળે તે પણ ઉત્તમ હોય અને જે મળે એને પણ ઉત્તમ બનાવી શકાય. પ્રસન્ન દામ્પત્યજીવન માટેની આ સમજ મને, રાધર મને અને પુષ્પાને, બહુ કામ લાગી છે. અમે લગ્ન પહેલાં પણ એ વિશે ઘણી વાર વિચારતાં અને વાતો કરતાં. પ્રેમ અને દાંપત્યજીવનની આવી સમજ ક્યાંક ‘પ્રિયજન’માં ઊતરી છે. તમારા સવાલના જવાબમાં એટલું જ કહી શકું કે જીવનની જેમ કળાસર્જનમાં ઉંમરની પ્રૌઢીથી વિશેષ સર્જકના ચિત્તની પૌઢી વિલક્ષણ ભાગ ભજવે છે.
દ.ધો : ‘પ્રિયજન’ ગુજરાતની ઘણી યુનિવર્સિટીમાં ભણાવાય છે, દરેક પેઢીની એ પ્રિય કૃતિ છે. તમારા મતે એનું કારણ શું હોઈ શકે?
વી.અં : દર્શનાબહેન, તમે જ ‘પ્રિયજન’ને પ્રેમનું ઉપનિષદ કહી છે અને એમાં જ એનો જવાબ આવી જાય છે. પ્રેમ એક શાશ્વત લાગણી છે. એનાં જુદાંજુદાં અનેક રૂપ છે. હું નથી માનતો કે પ્રેમનો અનુભવ કરી ચૂકેલી એક પણ વ્યક્તિ એના પ્રિયપાત્રને જીવનમાં ક્યારેય ભૂલી શકે. એની કડવી કે મીઠી યાદ છેલ્લા શ્ર્વાસ સુધી મનમાં સચવાયેલી રહે છે. ઉત્કટ પ્રેમસંબંધ પછી ‘પ્રિયજન’નાં નાયક-નાયિકા લગ્ન કરીને સાથે જીવી શકતાં નથી. તેમ છતાં એમના પ્રેમની ઊંચાઈ એમના દામ્પત્યજીવનમાં પણ વિકસે. બલકે વધારે સભર બનાવે, એ મુદ્દો ‘પ્રિયજન’માં કેન્દ્રસ્થાને છે. તે સમયે અને આજે પણ મેં ‘પ્રિયજન’માં આલેખેલો એ અભિગમ મોટા ભાગના વાંચકોને સ્પર્શ કરી ગયો હશે એવું સામાન્ય કારણ મને અત્યારે સૂઝે છે. એ વિશે વિગતે વાત કરી શકાય. સાદી રીતે કહું તો ‘પ્રિયજન’ વાંચીને દરેક વાચકને શું સ્પર્શી ગયું એનો જવાબ વાચકો વધારે સારી રીતે આપી શકે. દરેકના જવાબ અલગ હશે, ‘પ્રિયજન’ની અત્યાર સુધીની બધી આવૃત્તિઓમાં એના પાછલા કવર પર હું એક વિધાન મૂકતો, આ વખતે એ વિધાન મુખપૃષ્ઠ પર મૂક્યું છે. એ વિધાન અહીં પણ જણાવું, કદાચ એમાંથી પણ આપના સવાલનો જવાબ મળી આવે: ‘જીવનને ભરપૂર જીવી લીધું હોય, બધું જ સભર હોય, છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે કોઈ ચહેરો મનમાં છલકાઈ જાય. એવું બને ત્યારે પ્રશ્ર્ન થાય: કઈ ક્ષણ સાચી? કે પછી બને સાચી?’ ‘પ્રિયજન’ દરેક વ્યક્તિની પ્રેમની વિભાવનાની દરેક ક્ષણ સાચી ઠેરવતી નવલકથા છે. કદાચ એ કારણે જ ‘પ્રિયજન’ દરેક પેઢીના વાચકોની પ્રિયજન બની શકી છે. એની વીસમી વિશેષ આવૃત્તિની પ્રસ્તાવના મેં વાચકોને પત્રરૂપે લખી છે. એમાં ‘પ્રિયજન’નાં ચાર પાત્રોનો સંદર્ભ આપીને લખ્યું છે: ‘ચારુ, નિકેત, દિવાકર અને ઉમા આપ સૌને યાદ કરે છે. નામફેરે આપણે પણ એ લોકો જ છીએને?’ ‘પ્રિયજન’ આપણા સૌના સહિયારા પ્રિયજનપણાંની નવલકથા છે. એ જ એની અઢળક લોકચાહનાનું કારણ હોય એમ મને સમજાય છે.
-
ખિસ્સાને પોસાતી ‘ફાસ્ટ ફેશન’ પર્યાવરણને પરવડે એવી નથી
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
માનવસંસ્કૃતિનો આરંભ થયો ત્યારથી લઈને આજ સુધી તે સતત પરિવર્તનશીલ રહી છે. વિવિધ બાબતો માનવની જીવનશૈલી પર અસર કરતી અને તેમાં બદલાવ લાવતી આવી છે. અલબત્ત, અત્યાર સુધી પરિવર્તનની ઝડપ ઓછી હતી, જે યાંત્રિકીકરણ પછી વધતી ચાલી. ઈન્ટરનેટના આગમન પછી, છેલ્લા બે-અઢી દાયકામાં તેની ઝડપ અગાઉ ક્યારેય નહોતી એટલી વધી છે. સ્વાભાવિકપણે જ જીવનનાં અનેકવિધ પાસાં પર તેની અસર પડે. આ અસર વિપરીત છે કે સકારાત્મક એ નક્કી થાય એ પહેલાં તો પરિસ્થિતિ બદલાઈ જાય છે.
બદલાતા યુગના ત્વરિત પરિવર્તનના સૂચક જેવી એવી એક બાબત છે ‘ફાસ્ટ ફેશન’. અત્યાર સુધી ‘ફેશન’ શબ્દ ચલણમાં હતો, જેનું સ્થાન હવે આ શબ્દે લીધું છે. તેનો સાદો અર્થ થાય ‘સસ્તામાં તૈયાર થયેલાં અને એવા જ દરે વેચાતાં વસ્ત્રો, જે અદ્યતન શૈલીનાં વસ્ત્રોની નકલ જેવાં હોય છે અને પ્રવર્તમાન પ્રવાહ સાથે તાલ મિલાવવા માટે તે દુકાનોમાં ઝડપભેર અને જથ્થાબંધ ઠાલવવામાં આવે છે. નામ મુજબ તેમાં ડિઝાઈન, ઉત્પાદન, વિતરણ અને વેચાણ- બધું જ ઝડપી હોય છે. આશય એ કે છૂટક વ્યાપારીઓ વધુ પ્રમાણમાં વૈવિધ્યવાળાં વસ્ત્રો મોટા જથ્થામાં ખરીદે અને ગ્રાહકો સસ્તી કિંમતે વધુ ફેશનેબલ તેમજ વૈવિધ્યયુક્ત વસ્ત્રો ખરીદી શકે. ‘ફાસ્ટ ફેશન’ શબ્દ ૧૯૯૦ના દાયકામાં અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ‘ઝારા’ નામની બ્રાન્ડના આરંભ ટાણે ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ અખબાર દ્વારા ચલણી બનાવાયો હતો. ડિઝાઈનના તબક્કાથી સ્ટોર સુધી ફક્ત પંદર દિવસમાં વસ્ત્રને પહોંચાડવાના ‘ઝારા’ના મિશન માટે આ શબ્દ વપરાયો હતો. આજે વિશ્વભરમાં ‘ઝારા’, ‘ફોરએવર ૨૧’, ‘એચ એન્ડ એમ’, ‘યુનિક્લો’ જેવી બ્રાન્ડ ‘ફાસ્ટ ફેશન’ ક્ષેત્રે અગ્રણી ગણાય છે, જે ભારતમાં પણ કાર્યરત છે. ભારતમાં ‘ઝુડિઓ’ સહિત અનેક બ્રાન્ડ ઝડપભેર લોકપ્રિય બની રહી છે.
આ બ્રાન્ડનું મુખ્ય લક્ષ્ય યુવા ગ્રાહકવર્ગ છે. ‘ફાસ્ટ ફેશન’ના આ ચલણને મુખ્યત્વે આર્થિક બાબત સાથે જોડવામાં આવે છે, પણ તેને પર્યાવરણ પર પડતી વિપરીત અસર અંગે ભાગ્યે જ ચર્ચા થાય છે. ‘યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ’ (યુ.એન.ઈ.પી.)ના જણાવ્યા અનુસાર આ ઉદ્યોગમાં પાણીનો સૌથી વધુ ઉપયોગ થાય છે અને આશરે દસ ટકા કાર્બનનું તે ઉત્સર્જન કરે છે. તમામ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો અને દરિયાઈ જહાજો મળીને સંયુક્તપણે કાર્બન ઉત્સર્જિત કરે તેના કરતાં પણ આ પ્રમાણ વધુ છે.
એક અંદાજ અનુસાર એક સુતરાઉ ખમીસ તૈયાર કરવા માટે આશરે સાતસો ગેલન પાણીની અને જિન્સનું એક પેન્ટ તૈયાર કરવા માટે આશરે બે હજાર ગેલન પાણીની જરૂર પડે છે. એક ગેલન એટલે ૩.૭૮ લિટર. આ પાણીનો પુન:ઉપયોગ કરી શકાતો નથી. આ ઉપરાંત આ બનાવટોમાં પોલિએસ્ટર, નાયલોન અને એક્રિલીક જેવા કૃત્રિમ રેસાનો ઉપયોગ થાય છે, જેનું વિઘટન થતાં સેંકડો વર્ષ લાગે છે. ‘ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઑફ નેચર’ (આઈ.યુ.સી.એન.)ના ૨૦૧૭ના એક અહેવાલ અનુસાર દરિયામાંથી મળી આવતા તમામ પ્રકારના માઈક્રોપ્લાસ્ટિક પૈકીનો ૩૫ટકા જથ્થો પોલિએસ્ટર જેવા કૃત્રિમ કપડાંનો હોય છે. ૨૦૧૫માં રજૂઆત પામેલા ‘ધ ટ્રુ કોસ્ટ’ નામના એક દસ્તાવેજી ચિત્રમાં જણાવાયા અનુસાર વિશ્વભરમાં પ્રતિ વર્ષ આઠ હજાર કરોડ નંગ વસ્ત્રોનો ઉપાડ થતો હતો. વીસ વર્ષ અગાઉ થતા વપરાશની સરખામણીએ એ ચારસો ટકા વધુ છે. એક સરેરાશ અમેરિકન પ્રતિ વર્ષ ૮૨ પાઉન્ડ (આશરે ૩૭ કિલો) કપડાંનો કચરો પેદા કરે છે. તદુપરાંત પ્લાસ્ટિકના રેસાને કાપડમાં તબદીલ કરવાની પ્રક્રિયા પુષ્કળ ઊર્જા માગી લે છે, જેને પેદા કરવા માટે અઢળક પેટ્રોલિયમની જરૂર પડે છે, અને તે વિવિધ હાનિકારક પદાર્થોનું ઉત્સર્જન કરે છે.
આ વિકરાળ સમસ્યાનો કોઈ ઊકેલ ખરો? કોઈ પણ સમસ્યાના ઊકેલ તરફનું પહેલું પગલું તેની ઓળખનું અને એ પછી તેના સ્વીકારનું છે. જે ઝડપે ‘ફાસ્ટ ફેશન’નો વ્યાપ વધતો ચાલ્યો છે એ જોતાં અત્યાર સુધી પર્યાવરણને અનેકગણું નુકસાન તેનાથી થઈ ગયું છે. જેટલી ઝડપથી ‘ફાસ્ટ ફેશન’ને ડામવાના ઊપાય આરંભવામાં આવે એ પૃથ્વી માટે, એટલે કે આપણા સૌ માટે હિતકારી છે.
સ્વાભાવિકપણે જ ‘ફાસ્ટ ફેશન’ની પ્રતિક્રિયારૂપે ‘સ્લો ફેશન’નો વિચાર અનુકૂળ છે. વધુ પડતા ઉત્પાદન, વળગણયુક્ત બનેલી ખરીદીની આદત અને અત્યંત સંકુલ એવી પુરવઠાકડી પર અંકુશ મૂકવામાં આવે તો પર્યાવરણને ઓછું નુકસાન થાય.
હવે ઘણી વેબસાઈટ પર વપરાયેલાં વસ્ત્રો વેચાતાં થયાં છે અને લોકો સારી સ્થિતિમાં હોય એવાં વસ્ત્રો ઓછી કિંમતે ખરીદે છે. અમુક પ્રદેશમાં વસ્ત્રો ભાડે લાવવાનું ચલણ શરૂ થયું છે.
આ અને આવા તમામ પ્રયત્નો કદાચ જરૂરી છે, પણ પર્યાપ્ત નથી. ફાટેલા આકાશમાં થીંગડા મારીએ તો પણ કેટલાં? સરકાર તરફથી કેટલીક માર્ગદર્શિકાઓ તૈયાર થવી જોઈએ અને તેનો કડકાઈથી અમલ થવો જોઈએ. આ બાબતે પ્રથમ વિશ્વના વિકસીત દેશો પણ તૈયાર થઈ શક્યા નથી, ત્યાં ભારત જેવા દેશમાં તેની નીતિઓ ઘડાય એ બાબત મુશ્કેલ જણાય છે.
છેવટે આખી વાત ગ્રાહક પર, ઉપભોક્તા પર એટલે કે આપણા સૌ પર આવીને અટકે છે. આપણે ‘ફાસ્ટ ફેશન’ને માત્ર ‘કિફાયત ભાવે મળતાં ફેશનેબલ વસ્ત્રો’ની દૃષ્ટિએ જોવાનું બંધ કરીને તેને ‘પર્યાવરણના દુશ્મન’ માનીને તેનો ઉપયોગ ઘટાડવો પડશે. જો કે, આક્રમક માર્કેટિંગ, ઓછા પૈસે ભપકો દેખાડવાની મળતી તક અને તેને પગલે ઊભી થતી આભાસી ઈજ્જતઆબરૂ આપણને એમ કરવા દેશે કે કેમ એ સવાલ છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮– ૦૪ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)