-
જયાં સરસ્વતીની વીણાનો ગુંજારવ સંભળાય છે !
હરેશ ધોળકિયા
શહેરી સમાજ વ્યવસ્થાનું લક્ષણ છે આધુનિકતાનું વરવું પ્રદર્શન, એક જ સરખી મશીન જેવી બધી જ બાબતો. ગમે તે નગરમાં જાવ કે કોઈ આધુનિક સંસ્થામાં જાવ, બધું જ સરખું જ લાગે. એક જ પ્રકારની અદ્યતન સગવડો. જાણે રોલરકોસ્ટર ફરતું હોય. એટલે જયાં વૈવિધ્ય જોવા મળે ત્યાં આંખને ભારે આનંદ આવી જાય. મુખ્ય શોખ શૈક્ષણિક સંસ્થાઓ જોવાનો. તે નગર કે ગામની સૌથી સંસ્કારી સંસ્થા. સમગ્ર વિસ્તારમાં એક માત્ર ત્યાં સ્વસ્થતાનાં દર્શન થાય. અહીં જ ભવિષ્યની ઝાંખી થાય. એટલે તે જોવાની તક મળે તો ન ગુમાવું.મોટા શહેરોમાં કહેવાતી ‘ ઈન્ટરનેશનલ ‘ શૈક્ષણિક સંસ્થાઓમાં જઈએ તો તેની સગવડો જોઈ ચોકકસ આભા થવાય, પણ પ્રભાવિત ઓછા થવાય. બધું ફટોફટ થતું જોવા મળે. “ટચ-સ્ક્રીન” કમ્પ્યુટરો જોઈ ચકિત થઈ જવાય, પણ બાળકોને પ્રોગ્રામ્ડ થઈ કરતાં જોઈ ન ગમે. તેઓ ચોકકસ રીતભાતમાં-ફરતાં હોય કે વર્તતાં હોય. કૃત્રિમ લાગે. સહજતાનો અભાવ દેખાય. ઘરોમાં જેમ કોઈ મહેમાન આવે અને માતા પિતા બાળકને ગોખેલ આંકડા કે મૂળાક્ષરો કે કવિતાઓ બોલાવે, તેમ આવી સંસ્થાઓમાં પણ આવું જ જોવા મળે. બધું જ ટીપટોપ ! તત્કાલિન ગમે, પણ બહાર નીકળી ભૂલી જવાય. પણ ઘણી વાર નાની શૈક્ષણિક સંસ્થાઓમાં જઈએ અને ત્યાંનાં સહજ સાદા વાતાવરણમાં જે સર્જકતા જોવા મળે તે જોઈ દિલ ખુશ થઈ જાય. આવી કહેવાતી સાદી શાળાઓમાં બાળકો જે આનંદથી નાચતાં હોય, ખીલતાં હોય તે દશ્યો મનને ખુશ કરી દે. અને ઘણી વાર તો આવી શાળાઓ કહેવાતી આધુનિક શાળાઓને પણ ટકકર મારે તેવી હોય છે. હા, તેમાં કદાચ સગવડો ઓછી હશે, પણ ગુણવતા જરા પણ ઓછી ન દેખાય.અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની એક સરકારી પ્રાથમિક શાળામાં મુલાકાત લેવાની તક મળી હતી. ચારે તરફ એક એકથી ઉતમ અને આધુનિક સ્વ- નિર્ભર શાળાઓ. તેના વચ્ચે કેમ ટકતી હતી તે સવાલ થતો હતો. પણ તેના આચાર્યનો ઉત્સાહ જોઈ ટકવાનું કારણ સમજાઈ ગયું. આચાર્ય બાળકોને એવાં તો તૈયાર કરતા હતા અને શાળાને પણ એવી તો સજજ કરતા હતા કે તેમના આવ્યા પછી થોડા જ સમયમાં ઊંધો પ્રવાહ શરુ થયો. સ્વ-નિર્ભર શાળાઓમાંથી બાળકોનો આ સરકારી શાળામાં આવવાનો પ્રવાહ શરુ થયો. ભારતીય લોકશાહીની પ્રતીક એવી આ શાળા જોઈ અમે ખુશ થઈ
ગયા હતા.સંયોગવશાત આવી જ કચ્છની એક શાળાની મુલાકાત લેવાની તક મળી. ભુજથી મુન્દ્રા જાવ ત્યારે વચ્ચે ‘ સેડાતા’ નામનું તદન નાનું ગામ આવે. નવસોમાંનું એક અદશ્ય ગામ. પછાત કહી શકાય તેવું ગામ. ટકરી પર આવેલ ગામ. અંદર જવું હોય તો આજે પણ તદન કાચો રસ્તો. કહેવાતા વિકાસનું કોઈ જ લક્ષણ આ ગામમાં જોવા ન મળે. માત્ર હાઈ વે પરનું બસ સ્ટોપ આધુનિક માની શકાય. તેમાં જવાનું થયું.ગામનાં ઘરો વચ્ચેથી પસાર થતા તદન ટૂંકા રસ્તા પર આડા અવળા વળાંક લેતા અમે ગામની પ્રાથમિક શાળામાં પહોંચ્યા. તે ઉંચી ટેકરી પર આવી છે. આસપાસનાં મેદાનના એક છેડે આવેલ છે. મેદાન કહેવું જો કે હાસ્યાસ્પદ હતું. ખાડા ટેકરા જ હતા. કારમાં બેસીને ઊંટ ગાડીમાં બેઠા હોવાનો અનુભવ થતો હતો. પણ હા, આ મેદાનમાં ઊભા રહીએ તો આસપાસનાં દશ્યો આંખને ઠારતાં હતાં. સામે હાઈ વે દેખાતો હતો. તો એક બાજુ ભારાપર દેખાતું હતું. તેનાથી ઉપરની ટેકરી પર નાની મસ્જિદની ધજા ફરફરતી દેખાતી હતી. ઠંડકભર્યા વાતાવરણમાં ઊભા રહેવાની મજા આવતી હતી.આચાર્યની ઓફિસમાં ગયા. આચાર્ય શાળામાં નિરીક્ષણ કરવા ગયા હતા એટલે ઓફિસમાં ન હતા. એટલે તેમની રાહ જોતા બેઠા. બેસીને ચારે તરફ નજર કરી તો અહાહા ! ભીંતો પર ભારતનો ઈતિહાસ જીવંત થઈ ઉઠયો. એક બાજુ રાણા પ્રતાપ અને શિવાજી ઘોડા પર બેસી મુઘલોને લલકારતા હતા, તો તેમની પાસે ભગતસિંહ અને ચન્દ્રશેખર આઝાદ અંગ્રેજોને પડકારતા હતા. તેમની વચ્ચે ભારત માતા સિંહની પાસે ગૌરવથી ઊભાં હતાં. અને તેમની નીચે ભારતના એક ઉતમ વ્યકિતત્વ એવા કલામનો ચહેરો સ્મિતથી ઝળહળતો હતો. આ ચિત્રો એટલાં તો પ્રભાવક હતાં કે તેના પરથી નજર ખસતી ન હતી. તો તેની સામે, દરવાજા પાછળ, અહો ! નાનકડી લાયબ્રેરી દેખાતી હતી. પગ ઝડપથી તેના પાસે પહોંચી ગયા. આંખ તેના પર સ્થિર થઈ અને પુસ્તકો પર નજર ફરવા લાગી. અહોહો, ઉતમ ગુજરાતી પુસ્તકો જોવા મળતાં હતાં. લાયબ્રેરી નાની હતી, પણ ગુણવતાસભર હતી. પુસ્તકો ચોરવાની લાલસા થઈ આવી ! ઈતિહાસ અને જ્ઞાનની સુગંધથી આચાર્યની ઓફિસ મઘમઘતી હતી. ચારે તરફ આંખ ઉત્સાહથી ઘૂમતી હતી.ત્યાં આચાર્ય વસંતભાઈ પટેલ આવી પહોંચી આવ્યા. ભરાવદાર શરીર. ચહેરા પર છલોછલ ઉત્સાહ ! ઉષ્માપૂર્વક અમને આવકાર્યા. અમે તેમની આસપાસ ગોઠવાઈ ગયા. તેમણે આ બધા ફોટાઓ સમજાવ્યા. શાળાનો પરિચય આપ્યો. પણ તેમને તેનાથી સંતોષ ન થયો. કહે કે ચાલો, શાળાને આંટો મારીએ. આચાર્યની ઓફિસ સામે શાળાનું મકાન હતું. આચાર્યનો ઉત્સાહ જોઈ થયું કે ચોકકસ શાળામાં કશીક તો વિશિષ્ટતા હશે જ. ભારતમાં પ્રાચીન સમયથી રિવાજ છે કે જેના વડા ઉત્સાહી, તે સંસ્થા ઉતમ જ હોવાની. જેના વડા સામાન્ય, તે સંસ્થા ચીલાચાલુ. આ આચાર્ય થનગનતા હતા. એટલે શાળા પણ ચોકકસ થનગનતી હશે. તે જોવાની તો તત્પરતા હતી.સામે આવેલ શાળામાં પ્રવેશ્યા. દરવાજા સામે જ વર્ગો હતા. આચાર્ય વસંતભાઈ એક વર્ગમાં લઈ ગયા. તેના પર લખેલકે ”’ પ્રજ્ઞા ખંડ.”આમ તો શાળા એટલે જ અખંડ પ્રજ્ઞાની ભૂમિ. સમગ્ર જગતમાં અહીં જ પ્રજ્ઞાની ઝાંખી થાય. એટલે તેનો તો દરેક વર્ગ પ્રજ્ઞાથી ઉભરાતો હોય. અંદર પ્રવેશ્યા. અહોહો ! વર્ગની ચારે દિવાલો રંગોથી છલકાતી હતી. અરે, બાળકોનાં નાનકડાં મેજ પણ રંગીન હતાં. માત્ર રંગીન જ નહીં, દરેક મેજ પર કશીક માહિતી હતી. કયાંક આંકડા હતા. કયાંક મૂળાક્ષર હતા. કયાંક બીજી વિગતો હતી. આચાર્ય કહે કે બાળકોને બેઠે બેઠે, માત્ર મેજ પર નજર કરવાથી, આ બધી માહિતી આપોઆપ મળી જાય છે. આવી જ માહિતીથી છલકાતી ચારે દિવાલો હતી. અનેક પ્રકારની શીખવાની માહિતી તેના પર જોવા મળતી હતી. તેમાં આવેલ કબાટોમાં પણ એ જ હતી. એમાં વિવિધ ઘડા પડયા હતા. વર્ગ શિક્ષિકાએ દરેક ઘડામાં પડેલ વસ્તુઓનો શૈક્ષણિક ઉપયોગ બતાવ્યો. એક બાબત ધ્યાન ખેંચતી હતી. એક પુટ્ઠા પર નાનાં ચાર ખાનાં હતાં. તેમાં એક સાંઠિકડી પર બાળકોના ફોટા લગાવ્યા હતા. ચાર ખાના પર કુમાર-કુમારી અને હાજર-ગેરહાજર લખેલ હતું. શિક્ષિકાએ કહ્યું કે તે બધા ફોટા ગેરહાજરના ખાનામાં રાખતી હતી. શાળામાં બાળકો આવે કે તે પોતાનો ફોટો કાઢી કુમાર કે કુમારીના ” હાજર”ના ખાનામાં મૂકી દે. એટલે છેલ્લે જે ગેરહાજર હોય તેના ફોટા જ ગેરહાજરમાં રહે. તેના આધારે હાજરી નકકી થઈ જાય. શિક્ષિકાને હાજરી પૂરવી ન પડે. આ ખાનાં જોતાં જ ખ્યાલ આવી જાય. તદન નવો કહી શકાય તેવો સર્જનાત્મક વિચાર હતો આ. બધા ખુશ થઈ ગયા અને શિક્ષિકાને અભિનંદન આપ્યાં.તો પાસેનો રુમ ” ગુજરાતી રુમ” હતો. તેમાં વળી બીજી નવાઈની બાબતો હતી. તેમાં રાખેલ ઘડાઓમાં આવા જ ફોટા હતા, પણ પક્ષીઓના, પશુઓના, ફળોના હતા. શિક્ષિકા બાળકોને પક્ષીઓના કે ફળોના ફોટા અલગ કરવાનું કહે.બાળકો કરી દે. આમ તેમને આ રીતે બધાનો પરિચય થાય. કોઈ જ વિધિસર રીતે શીખવ્યા વિના જ બાળકોને વિવિધ વિષયોનો અને બાબતોનો પરિચય થતો રહે. દરેક રુમમાં આવી અનેક વૈવિધ્યસભર બાબતો હતી જે બાળકો સહજ રીતે શીખતાં હતાં. કદાચ શિક્ષક-શિક્ષિકા બહાર જતાં હશે તો બાળકોને આ કરવા કહી જતાં હશે અને બાળકો જાતે જ શીખતાં હશે. દરેક રુમમાં રહેલ શિક્ષકોની આંખો સર્જકતાથી અને ઉત્સાહથી છલકાતી હતી. દરેક પળે કશુંક નવું સર્જવા તત્પર હતી. ટચુકડાં ગ્રામ્ય બાળકો પણ તેમના સામે આશા-અપેક્ષાથી જોતાં હતાં. શિક્ષક-બાળકો બન્ને શૈક્ષણિક ઊર્જાથી થનગનતાં હતાં. કહેવાતાં પછાત ગામના એક છેડે, કચ્છના એક તદન ખૂણે, એક નાની ટેકરી પર શૈક્ષણિક યજ્ઞ ચાલતો હતો. પ્રતાપ, શિવાજી, ભગતસિંહ, ચન્દ્રશેખર આઝાદ અને કલામ દૂરથી હર્ષભરી આંખે આ વિકાસ જોતા હતા. તેમને પોતે ભારતને સ્વતંત્ર કરવાની કે વિકાસ તરફ લઈ જવાની તેમની મહેનતનાં પરિણામ જોતાં વ્યર્થ શહિદી નથી વહોરી તેનો અહેસાસ થતો હતો.આખી શાળામાં ફર્યા. ખૂણેખૂણો ચોખ્ખો. યુરોપમાં જોવા મળે તે આ શાળામાં જોવા મળતું હતું. બહાર મેદાન પણ ચોખ્ખું. વાતાવરણ પણ શાંત અને પવિત્ર. એવું “ફિલ” થતું હતું કે સરસ્વતી અહીં આનંદથી ઘૂમતાં હતાં અને વાતાવરણને માણતાં હતાં. એકેએક શિક્ષકની આંખ સર્જકતાથી છલકાતી હતી. બાળકોને બધું જ જ્ઞાન આપી દેવા તત્પર હતી. દેશના વિકાસમાં રામાયણની ખીસકોલી જેમ ફાળો આપવા ઉત્સુક હતી. અને હા, સરકાર તો આ બધા માટે શરમ આવે તેટલી ગ્રાન્ટ આપતી હતી. શિક્ષકો પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢી આ પ્રયોગો તૈયાર કરતા હતા. એટલે જ સમજાતું હતું કે આ શાળામાં કેમ આનંદ આવતો હતો.વસંતભાઈને, શિક્ષકોને અને શિક્ષિકાઓને ખૂબ જ અભિનંદન આપ્યાં. ખાસ વિર્નાતિ કરી કે તેમણે તેમના આ પ્રયોગોને રાજયનાં મેગેઝીન ” જીવનશિક્ષણ”માં લખવા જોઈએ જેથી સમગ્ર ગુજરાતને પ્રેરણા મળે. શિક્ષકોની આંખમાં પણ અમારો આનંદ જોઈ કૃતજ્ઞતા વ્યકત થતી હતી. ભર્યું ભર્યું પર્યાવરણ હતું.શાળામાંથી વિદાય લીધી ત્યારે અફસોસ થયો કે બહુ ઓછી મુલાકાત ચાલી. કયારેક બીજી વાર નીરાંતે આવવું પડશે. પછાત ગામની આ પ્રગતિશીલ શાળાનાં પુનઃ દર્શન કરવાં પડશે.ખાતરી છે કે કચ્છમાં- અને ગુજરાતમાં પણ- આવી અનેક શાળાઓના શિક્ષકો ખૂણામાં બેસી આ રીતે જ બાળકોને એકવીસમી સદીના પડકારો ઝીલવા માટે તૈયાર કરતા હશે. દરેક સ્વસ્થ નાગરિકે આ શાળાઓની મુલાકાત લેવી જ જોઈએ. ચારે બાજુ સામાન્ય વાતાવરણ વચ્ચે આ પ્રજ્ઞાખંડોને જાળવવાની જવાબદારી નાગરિકોની છે. સરકાર શિક્ષકોને સન્માને કે ન સન્માને, નાગરિકોએ તો તેમને સન્માનવા જ જોઈએ.
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક dholakiahc@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ડુંગર ઉપર આગ લાગી, ચેતો રે ચેતો!
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
આ વર્ષે વિચિત્ર વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. શિયાળાના સમાપન અને ઊનાળાના આગમનની વચ્ચે આવતી ખુશનુમા વસંત ઋતુનો જાણે કે લોપ થઈ ગયો હોય એમ આકરી ગરમીનો આરંભ થઈ ચૂક્યો છે. આવી મોસમમાં ગોવા રાજ્યમાં ઠેરઠેર દાવાનળ ફાટી નીકળ્યો છે. માર્ચ, ૨૦૨૩ના પ્રથમ દસેક દિવસમાં અનેક સ્થળે ડુંગરો પર આગ લાગવાના બનાવો બન્યા છે અને કાજુનાં વાવેતરને નષ્ટ કરી રહ્યાં છે. અલબત્ત, ગોવાના વનમંત્રી વિશ્વજીત રાણેને આરંભે એમ લાગેલું કે કોઈક અટકચાળાં તત્ત્વોએ આગ લગાડી હશે. પછી તેમને લાગ્યું કે એવું નથી અને બદલાતા તાપમાનને કારણે આમ થયું હશે. તેમણે જણાવ્યું છે કે આગ બાબતે તપાસ બેસાડવામાં આવશે અને તેનો અહેવાલ સુપ્રત કરાશે.
Source: https://www.heraldgoa.in/Goa/Fire-breaks-out-in-Sanguem-village-that-rejected-Goa-govt%E2%80%99s-IIT-plans/202108 આ આગ કેવીક છે? ભારતીય વાયુદળનાં એમ.આઈ.૧૭ હેલિકોપ્ટરો દ્વારા આશરે 47,000 લીટર પાણીનો વિવિધ સ્થળોએ છંટકાવ કરવામાં આવ્યો છે. પાંચમી માર્ચથી લઈને એક જ સપ્તાહમાં આગ લાગી હોય એવાં 48 સ્થળો નજરમાં આવ્યાં છે, જેમાંથી 41 સ્થળોએ આગ બુઝાવી દેવામાં આવી છે, જ્યારે સાત સ્થળોએ તે સક્રિય છે. પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર હજી સુધી જીવસૃષ્ટિ તેમજ વનસ્પતિ સૃષ્ટિને કોઈ મોટું નુકસાન થયું હોવાનું જણાયું નથી. અસરગ્રસ્ત ક્ષેત્રોને સેક્ટરમાં વિભાજીત કરી દેવામાં આવ્યા છે અને વિવિધ વિભાગોને તેની જવાબદારી સોંપી દેવામાં આવી છે.
વિવિધ પર્યાવરણવિદ્ અને વિજ્ઞાનીઓને આ આગ માટે બદલાતા હવામાનની સ્થિતિ નહીં, પણ માનવીય હસ્તક્ષેપ જવાબદાર લાગે છે. કેમ કે, આ અરસામાં લાગેલી તમામ આગ ડુંગરા પર યા ગાઢ જંગલ હોય તેની પર લાગી છે. ઉષ્ણકટિબંધ વિસ્તારમાં આવેલું હોવાના કારણે ગોવાનાં વનોમાં ભેજયુક્ત હવામાન હોય છે, તેમજ ત્યાંની ભૂમિમાં પણ ભીનાશ રહેલી હોય છે. વિજ્ઞાનીઓના મતે આ પરિસ્થિતિમાં અહીં કુદરતી રીતે આગ ફાટી નીકળવાની શક્યતા બિલકુલ નથી.
ફોરેસ્ટ સર્વે ઑફ ઈન્ડિયા (એફ.એસ.આઈ.)ના અનુસાર નવેમ્બરથી જૂન વચ્ચેની મોસમ આગની કહી શકાય. નવેમ્બર, 2019થી જૂન, 2020 દરમિયાન કુલ 45 અને નવેમ્બર, ૨૦૨૦થી જૂન, ૨૦૨૧દરમિયાન ૪૭ સ્થળોએ આગના બનાવ નોંધાયા હતા. એફ.એસ.આઈ.ની નોંધ અનુસાર સોએક જેટલા આ બનાવો મોટા પાયે, સતત અને પુનરાવર્તિત આગના હતા. એ પણ જાણવું જરૂરી બની રહે છે કે ગોવાના વનવિસ્તારનો એક પણ ભાગ આગની સંભાવનાયુક્ત નથી. આનો સીધો મતલબ એ થાય કે આગના તમામ બનાવો નૈસર્ગિક નહીં, પણ સંભવત: માનવપ્રેરિત છે.
આવી શંકા સકારણ છે. કેમ કે, ડુંગરા ‘કાપવા’ તેમજ વનવિસ્તાર પર દબાણ કરવાની ગતિવિધિઓ રાજ્યભરમાં દિનબદિન વધી રહી છે. ગોવાની ભૂમિ, ખાસ કરીને અહીંના પર્વતોનું મૂલ્ય ઘણું છે. છેલ્લા બે દાયકામાં અનેક નવા પ્રકલ્પો, બાંધકામ તેમજ વિકાસયોજનાઓ આકાર લઈ રહી છે. પ્રવાસીઓને આકર્ષવા માટે વિશાળ હોટેલો, વ્યક્તિગત આવાસો તેમજ નિવૃત્તજનો માટેનાં નિવાસસ્થાનની યોજનાઓ મોટા ભાગના રીઅલ એસ્ટેટ ડેવેલપર મૂકી રહ્યા છે.
એમ મનાય છે કે પહેલાં આગ લગાડીને વનસ્પતિસૃષ્ટિને નષ્ટ કરવામાં આવે છે, અને એ જમીનને ઉજ્જડ કરી દેવાય છે. થોડો વખત પછી એ જમીન પર ‘વિકાસકાર્ય’ હાથ ધરવામાં આવે છે. કાનૂનમાં રહેલાં છીંડાંનો ભરપૂર ઉપયોગ આના માટે કરવામાં આવે છે. વિકાસ કરવાનો હોય એ જમીન મોટા ભાગે કોઈ ને કોઈ ગામના વિસ્તારમાં આવેલી હોય છે. આને કારણે ડેવેલપરને ફાવતું જડે છે. તેઓ કાનૂનમાં રહેલાં છીંડાં દ્વારા યેનકેનપ્રકારેણ મંજૂરી મેળવી લે છે.
સમગ્રપણે જોતાં ખ્યાલ આવે છે કે વનમાં આગ સાથે ગોવાની ‘વિકાસયોજનાઓ’ સીધેસીધી સંકળાયેલી છે. સરકારમાં ઈચ્છાશક્તિ હોય અને તે આ રોકવા માગતી હોય તો આગ લાગવાના કારણ બાબતે ભલે તપાસ બેસાડે, સાથોસાથ જમીનના હેતુબદલાવ અને વિશાળકાય પ્રકલ્પોની કુંડળીની પણ તપાસ કરવી જરૂરી છે.
અત્યારે તો આગને કાબૂમાં લેવા માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યાં છે. ‘ડીસ્ટ્રીક્ટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી’ (ડી.ડી.એમ.એ.) દ્વારા જનસામાન્ય માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. વનની દરેક બીટ માટે દસથી પંદર સ્વયંસેવકોને નીમવામાં આવ્યા છે, જેઓ વનવિભાગના કર્મચારીઓ સાથે સંકલન સાધીને કામ કરશે. આ ઉપરાંત વિવિધ બિનસરકારી સંગઠનો, પંચાયત સભ્યો વગેરેને એકત્રિત કરવા માટે પણ નાયબ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. સ્વયંસેવકોની ભરતી માટે વનવિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સ્વયંસેવકો શારિરીક રીતે સક્ષમ હોવા જોઈએ, કેમ કે, તેમણે ટ્રેકિંગ તેમજ જંગલમાં ચાલવાનું આવે અને ક્યારેક રાત્રે પણ એ કરવાનું થાય.
આ પગલાં અસરકારક નીવડે અને અત્યારે લાગેલી આગ બુઝાઈ જાય એ શક્ય છે, પણ એ આગ જો માનવપ્રેરિત હશે અને એક લાંબા ગાળાના સુવ્યવસ્થિત આયોજનના ભાગરૂપે લગાડવામાં આવી હશે તો એ ફરી લાગી શકવાની શક્યતા નકારી શકાય એમ નથી. આવા સમયે સરકારની ભૂમિકા મહત્ત્વની બની રહે છે. વનસંપદા બચાવવા માટે તે કાયદાને વધુ કડક બનાવે, વનસંપદાની જાળવણી અને સંવર્ધનની પ્રાથમિકતા જાળવે અને એ મુજબ વિવિધ પ્રકલ્પોને મંજૂરી આપે તો જ એ શક્ય બની શકે. ઈચ્છાશક્તિ વિના આ થઈ શકે એમ નથી. કાગળ પર કાયદા ગમે એટલા કડક બને, તેના મૂળભૂત હેતુને એ સિદ્ધ ન કરે તો કશો અર્થ સરતો નથી. કહેવાતા વિકાસની દોટ એટલી આંધળી છે કે એમાં માનવજાતને પોતાનું ધૂંધળું ભાવિ પણ દેખાતું નથી.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩ – ૦૩ – ૨૦૨૩ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પુરાણોની રચનાનું કારણ
રામાયણ – સંશોધકની નજરે
પૂર્વી મોદી મલકાણ
પુરાણો કેટલા છે? તો એ નો જવાબ છે અઢાર. આ જવાબ આપણાં બધાં પાસે છે, પણ આ પુરાણોની આયુ કેટલી?, પુરાણો એટ્લે શું ? અને પુરાણો ઉપર શાસ્ત્રોક્ત વ્યાખ્યાં શું છે? આ બધાનો પ્રશ્નનાં જવાબ થોડાં વિચારણીય બની જાય છે. તો ચાલો આજે નીકળી પડીએ પુરાણોની રચનાનું કારણ જાણવા.
પુરાણો… ઉપનિષદ, વેદોની જેમ પુરાણો પણ હિન્દુઓનું ધર્મસંબંધિત એવો આખ્યાનગ્રંથ છે જેમાં ભક્તિની સહસ્ત્ર ધારાઓ પ્રવાહિત થઈ હતી. આ પ્રમાણે સહસ્ત્ર ધારાઓ પ્રવાહિત થવાનું એ કારણ કહી શકાય કે, એ સમયમાં કર્મકાંડ ( વેદ ) થી જ્ઞાન ( ઉપનિષદ) ઉપર બ્રાહ્મણો અને આચાર્યોનો પ્રભાવ હતો. જ્યારે પુરાણોમાં રહેલ કથા, શ્રુતિ, સ્મૃતિ આદીએ સામાન્ય જનમાનસને સમજાય તેવી હોવાને કારણે પુરાણોનો વિકાસ વધુ થયો. આ શ્રુતિ, સ્મૃતિ અને કથા સિવાય આ ગ્રંથમાં શિવ -વિષ્ણુ અને તેમની સૃષ્ટિ, વાયુ, જલ સૃષ્ટિ, પ્રાચીન ઋષિઓ અને તેમની આશ્રમ વ્યવસ્થા, જે તે સમયનો સમાજ અને તે સમયનાં સામાજિક જીવન, પાપ અને પુણ્યની વ્યાખ્યા, દેવી-દેવતાઓનું મહત્ત્વ અને તેમનાં પ્રાગટ્યનો ઇતિહાસ, ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ, પૃથ્વી અને સૃષ્ટિનાં આરંભ અને અંત સુધીની યાત્રા, ક્રિયા અને કર્મ વચ્ચેનું પરિમાણ, તીર્થયાત્રા, ચિકિત્સા, ખગોળ, ખનીજ અને વિજ્ઞાન શાસ્ત્ર, વ્યાકરણ વગેરે ઉપર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. ટૂંકમાં એમ કહી શકાય કે; પુરાણોમાં વર્ણિત વિષયોની કોઈ સીમા નથી.પુરાણોની રચના મૂળ દેવભાષા સંસ્કૃતમાં કરવામાં આવી હતી, પણ મધ્યકાલીન યુગથી આ સંસ્કૃત ગ્રંથોને પ્રાકૃતિક અને ક્ષેત્રિય ભાષામાં બદલવામાં આવ્યાં જેને કારણે કવચિત્ કેવળ બ્રાહ્મણોનાં ગૃહમાં નિવાસ કરનારા પુરાણો પ્રત્યેક નાના મોટા ગૃહોમાં પહોંચ્યાં. ઈતિહાસકારો અને ભૂસ્તરશાસ્ત્રીયોએ કહ્યું છે કે, જ્યાં હિન્દુ પુરાણોનાં રચનાકાર અજ્ઞાત છે, ત્યાં જૈન અને બૌધ્ધધર્મનાં ગ્રંથોમાં પાંડુલિપિમાં રચિત પુરાણોનો ઉલ્લેખ જોવા મળે છે અને આ પાંડુલિપિમાં આ પુરાણોને કોણે ફેરવ્યાં તેમનાં નામ પણ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ, સભ્યતા એવં ઇતિહાસનાં સમ્યક જ્ઞાનને માટે પુરાણોનું ગહન અધ્યયન પરમ આવશ્યક છે. પુરાણો એ ભારતીય સંસ્કૃતિ એવં સભ્યતાનાં મેરુદંડ છે. આ મેરુદંડનાં ગંભીર અભ્યાસ વગર ભારતનો અતીત અને ઇતિહાસ અપૂર્ણ છે તેમ છતાં યે આ શબ્દનો ઉલ્લેખ ક્યાં ક્યાં થયો છે તે જાણકારી સરળતાથી મળતી નથી. તેથી ચાલો આજે આપણાં પૂર્વ ઇતિહાસનાં પાનાઓમાં ચાલીયે અને શોધીએ કે પુરાણો વિષે જે તે સમય શું કહે છે અને પુરાણોની રચના પાછળનું પ્રયોજન શું હતું.પુરાણોની રચના પાછળની કથા અને પ્રયોજન:-કથા છે કે’; જ્યારે બ્રહ્માજીએ વેદોની શ્રુતિઓ અને ઋચાઓને જ્યારે સ્મરવી શરૂ કરી તે અગાઉ બ્રહ્મદેવે ઊંડા શ્વાસ ભરી નિશ્વાસ નાખ્યો તે સમયે પુરાણોનું પ્રાગટ્ય થયું. આ ઊંડા શ્વાસ ભરવાનું કારણ એ હતું કે, બ્રહ્મદેવે વિચાર્યું કે વેદો એ ઋષિસંસ્કૃતિ, અને આશ્રમ સંસ્કૃતિનો ભાગ બને તે અગાઉ તેને પાયારૂપ આધારની જરૂર છે માટે આપે શિષ્યની પરંપરાની સાથે શ્રવણ, અર્ચન, પૂજન, પઠન, પાઠનની રીતિ જનસમુદાયનાં હૃદયમાં સ્થાપીત કરવા માટે પુરાણોની રચના કરી જેથી કરીને વેદોને શિક્ષા રૂપે આપવા માટે અને શિક્ષણરૂપે લેવા માટે શુધ્ધતા અને નિયમ જળવાઈ રહે. ( વા.પુ -૩/૫૪ અને મ.પુ -૩/૪ )
પુરાણોની આયુ
પ્રથમ પ્રશ્ન પુરાણોની આયુ કેટલી? તે વિષે એમ કહેવું પડે જેટલી જ પ્રાચીન છે ભારતીય સંસ્કૃતિ છે તેટલી જ કે પુરાણોની સત્તા છે. તેમ છતાં યે પરફેક્ટ આયુ કહેવી હોય તો એમ કહી શકાય કે, શિવપુરાણની આયુ અન્ય પુરાણોની સરખામણીમાં સૌથી જૂની છે. ( અલબરુની -૧૦૩૦ નાં અનુસાર ) જ્યારે અન્ય એક મત કહે છે કે, કૈલાસ સંહિતાનાં ૧૬ અને ૧૭ માં અધ્યાય માં દશમી સદીનાં પૂર્વાધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો બીજો મત ૧૩ મી સદીનાં ઉત્તરાર્ધમાં લઈ જાય છે. ત્રીજો મત એમ પણ કહે છે કે શિવપુરાણ એ મુખ્ય પુરાણનો ભાગ નથી બલ્કે ઉપપુરાણનો ભાગ છે. આ ઉપપુરાણોનાં ક્રમાંકમાં આવે છે ભાગવત પુરાણની આયુ ચોથી સદીમાં માનવામાં આવી છે.જો’કે ભાગવત પુરાણનાં રચયિતા વેદવ્યાસજી ખરા, પણ વેદ વ્યાસ ક્યા? ઈતિહાસકારો કહે છે કે, જે ચારે વેદને સમજી શકે છે, જાણી શકે છે, વાંચી શકે છે અને આ વેદ ઉપર ભાષ્ય, ટિકા વગેરેની રચના કરી તેમનાં ઉપર વ્યાખ્યાન કરી શકે છે તેમને વેદ વ્યાસ તરીકેની ઉપમા આપવામાં આવે છે. પણ જો આ પ્રકારે જોઈએ તો વેદવ્યાસજી તો એ વેદવ્યાસ ન થયાં જેને આપણે ભાગવતનાં રચયિતા તરીકે ઓળખી શકીએ. બીજી વાત એ કે ભાગવતનાં રચયિતા તરીકે જેનો ઉલ્લેખ થાય છે તેમનું મૂળ નામ છે દ્વૈપાયન ( જેમનો જન્મ દ્વીપ પર થયેલો છે તે ) આગળ વધતાં ઈતિહાસકારો એમ પણ કહે છે કે, દ્વૈપાયન વેદવ્યાસજી નો ક્રમાંક ૨૮ મો છે અર્થાત આ ૨૮ પહેલાં થઈ ગયેલાં ૨૭ વેદ વ્યાસોએ મૂળ ભાગવતની રચનામાં કોઈ ને કોઈ ફાળો ચોક્કસ આપ્યો હશે અને ભાગવત ગ્રંથની પૂર્ણાહુતિ આ મહર્ષિ દ્વૈપાયન વેદવ્યાસજી દ્વારા થઈ હશે. આ પ્રકારનાં વેદવ્યાસો દરેક કલ્પમાં આવે છે પણ શ્રીમદ્ ભાગવત ગ્રંથની રચનામાં જોડાયેલાં અંતિમ વિદ્વાન એ દ્વૈપાયનજી હતા.આમ ઈતિહાસકારો એ કહેલાં કથનને બીજી રીતે વિચારતાં એ ય સમજવા મળે છે કે; મૂળ મહાભારત ગ્રંથનાં રચયિતા વેદવ્યાસજીને ખ્યાલ હતો કે કૃષ્ણનું ચરિત્ર શું છે આથી જ્યારે ભાગવત ગ્રંથની રચના થતી હતી ત્યારે દશમ સ્કંધની રચનામાં દ્વૈપાયનજીએ પોતાનો સહયોગ આપ્યો અને વિષ્ણુનાં વિવિધ અવતારોની મહત્ત્વતા આ એક અવતારકાર્યમાં પૂર્ણ કરી. આ બાબતમાં એ ય જોવાની વાત છે કે; પુરાણોની રચનામાં ભાગ આપનાર આચાર્યોનાં સમયને જો જોવામાં આવે તો પુરાણો ક્યા સમયમાં રચાયાં તે વિષેની ચર્ચામાં ચોક્કસ ભિન્નતા આવે છે અને સમયકાળ ક્યો હતો તે વિષેની ચર્ચાનો ભાર વિશેષ થઈ જાય છે. તેથી તે પુરાતન કાળનાં સમયની પાછળ ન દોડતાં આપણે અંદાજે કહેલાં સમયકાળને જોઈએ.
ક્રમશઃ
-
મેં માર્યો જંગલના રાજાને
વાર્તામેળો – ૫
પર્વ આશોકભાઈ પરમારશ્રી કેરાકુન્દમાર લેઉવા ટ્રસ્ટ, કચ્છVarat Melo 5 – 3 – I have killed King of Jungle – Paramar Parv
સંપર્ક : દર્શા કિકાણી – darsha.rajesh@gmail.com
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૧ #
અર્થશાસ્ત્રની આપણી આસપાસ રચાયેલી જેલની દુનિયા
‘પ્રાકક્થન’ – સુખી અંગત જીવનની માર્ગદર્શિકા થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
જીવનનાં અર્થશાસ્ત્રને સમજવા માટે પહેલું પગલું ‘અર્થશાત્ર’ની દુનિયાના અર્થશાસ્ત્રનાં વિજ્ઞાન, માનવ જીવનનાં અર્થશાસ્ત્ર અને આપણાં જીવનની વ્યક્તિગત અર્થવ્યવસ્થાના ત્રિલોકના કોઠાને સમજવાનું છે.
આપણેઃ કેદી
નાણાંની મોહજાળે આપણી આસપાસ એક અનોખી કેદ ખડી કરી છે જેની બધી ચાવીઓ જેલર તરીકે પૈસો પોતાના હાથમાં રમાડે છે. આ જેલની સીમાઓ જાણે અનંત છે.
જેલર પણ હોવો જોઇએ
માનવીને આ કારાગૃહમાંથી મુક્તિ મળે એવી કોઈ દૈવી શક્તિ તેની પાસે છે નહીં. વળી, જેમ જેમ આપણે આ મોહપાશમાંથી છૂટવા હવાતિયામાં મારીએ છીએ તેમ તેમ નાણાંની નાગચૂડ વધારે કસાતી જાય છે. આજે નરી વાસ્તવિકતા એ છે કે આપણાં જીવનનાં ડગલે ને પગલે આપણે જાણ્યે અજાણ્યે એ જેલરની અનુમતિ આવશ્યક બની ગઈ છે.
અર્થવ્યવસ્થાની કેદની નીતિના ઘડવૈયાઓ
જોકે ખુદ જેલર પણ આપણને મળેલી આ જન્મની આર્થિક જેલની કેદના નિયમો ઘડવા માટે સ્વતંત્ર નથી.
આપણાં જીવનની આર્થિક કેદનાં નીતિનિયમો તો અર્થશાસ્ત્રની લગામ જેમના હાથમાં છે એવાં અર્થશાસ્ત્રીઓ અને રાજનેતાઓ ઘડે છે. જેલર તો એ નીતિનિયમોનું પોતાની રીતે અર્થઘટન કરે છે અને પછી આપણાં જીવનભર તેનો અમલ કરે છે.
પણ કેદમાંથી છૂટકારો નથી
આ કેદમાં ભાગી છૂટીને આર્થિક પ્રભાવમાં ન હોય તેવું જીવન જીવવાની ખ્વાહિશ અનેક લોકો ધરાવતાં હોય છે. આજન્મ આર્થિક કેદની જેલ તોડીને જે લોકો એમેઝોનનાં ગાઢ જંગલો કે આફ્રિકાની વનરાજીઓ કે હિમાલયની હિમાચ્છાદિત શિખરો કે બરફની સફેદ ચાદરથી ઢકાયેલ આલ્પ્સના ઢોળાવોનાં મુક્તિ-અભયારણ્યોમાં જઈને વસે છે તેઓ નાણાંકીય જેલરે છેડેલ ઝંઝાવાતની સામે શાહમૃગીય વૃત્તિથી પોતાની જાતને બચાવી લીધાની આત્મવંચના જ કરે છે. પ્રત્યક્ષ રીતે એ લોકો નાણાં સાથે વ્યવહારો નથી કરતાં. પરંતુ તેમનાં કુટુંબીજનો, તેમનાં અનુયાયીઓ, સખાવતીઓ કે સરકારો જે તેમને ‘મદદ’ કરી રહ્યાં છે તે તો નાણાંની શક્તિને જ આભારી છે.
આર્થિક કેદના નાણાં સ્વરૂપ જેલરે ઘડેલા નિયમોની મર્યાદામાં રહીને તમને પોતાના જીવનના નિયમો ઘડવાની મર્યાદિત સ્વતંત્રતા જરૂર છે. એકબીજાંની જરૂરિયાતો પુરી કરવાના વિનિમય પ્રેરિત સમુદાયનાં તમે ભાગ બનો કે સેવા જ્ઞાનની વહેંચણી કરતી સંસ્થામાં તમે માત્ર એ સેવાનો જ છેડો સંભાળી લો કે સેવાઓ મેળવનાર લાભાર્થીઓ બનો જે સંસ્થાનો વહીવટ કોઇ અન્ય લોકો જ સંભાળતાં હોય, તો પણ તમે પરોક્ષપણે નાણાકીય વ્યવહારની સાંકળ કડી તો બની જ રહો છો. પ્રત્યક્ષ નહી તો પરોક્ષપણે, નાણાં સ્વરૂપ જેલર સાથેનો તમારો સંપર્ક છૂટતો નથી. જીવન જીવવા માટે કુદરતે હવા પાણી આપણને વિનામૂલ્યે આપેલ છે એવી બધી આપણી માન્યતાઓની કિંમત આજે નથી ચુકવતાં તેથી ભવિષ્યમાં તેની વસુલાતમાંથી છૂટકારો તો નથી જ મળી જતો.
જીવન માટે પૈસો અનિવાર્ય છે
આપણે આપણા સહસમુદાયીઓ સાથે ચીજવસ્તુઓ અને સેવાઓની આપસી જરૂરિયાતોની આપલે તો કરવી પડશે. એ આપલેના વ્યવહારો અર્થશાસ્ત્રનો એક મહત્ત્વનો હિસ્સો છે. વળી આ આપલે સરળ બનાવવા માટે નાણાની જરૂરિયાત પણ મહદ અંશે અનિવાર્ય રીતે આવશ્યક જ બની ગઈ છે.
વિનિમય માધ્યમ તરીકે નાણાં એ અર્થશાસ્ત્રને વેગવંતુ રાખવા માટેનું વાહન છે. અર્થશાસ્ત્ર સાથે આપણું જીવન પણ વણાયેલું હોઇ, આપણે આપણાં વાંછિત મુકામો સુધી પહોંચવા નાણાંનાં વાહન પર સવારી કરવી આવશ્યક પણ છે. નાણાં અર્થશાસ્ત્રને વેગવંતુ રાખે છે અને અર્થશાસ્ત્ર અનુસારના આપણા વિનિમયોને સરળ બનાવે છે તેટલા પુરતું નાણાં પણ આપણી એક મહત્ત્વની આવશ્યકતા તે પણ ખરૂં તો છે જ.
કેદની સજા આપણે જાતે વહોરી લીધી છે
પરંતુ તે સાથે એ પણ એટલું જ ખરૂ છે કે અર્થશાસ્ત્ર આપણા જીવનનું ખુબ મહત્ત્વનું પાસું હોવા છતાં તેને જેલ બનાવી દેવા જેટલું મહત્ત્વ આપી દેવાની પણ કોઈ જરૂર નથી . એ જ રીતે. નાણાની આવશ્યકતાનો સ્વીકાર કરવા છતાં પણ તેને આપણો જેલર બનાવી દેવાની પણ કોઈ જરૂર નથી.
એટલે આ જ કેદમાં જો આ જન્મારો કાઢવાનો હોય તો એ જેલની પીડાઓને સહ્ય બનાવવા માટે એ કેદની નાનીમોટી વ્યવસ્થાઓને સારી પેઠે સમજી લેવામાં જ સાર રહ્યો છે એ વાત સ્વીકારી લઈને નિયતિ આપણા માટે જીવનમાં લખેલાં અન્ય સુખોને પ્રાપ્ત કરવા માટે અર્થશાસ્ત્રનાં કારાગૃહમાંનાં જીવનને સમજી લેવાની દિશામાં આગળ વધીએ.
સૌ પ્રથમ તો એ સમજી લઈએ કે આર્થિક કેદની જેલમાં, નાણાંનાં જેલરપણા હેઠળ આ જ્ન્મારો વિતાવવાનો છે. એટલે જેલર દ્વારા લાગુ કરાતા, જેલના કાયદા સ્વીકારીને તેનું પુરા સહકારથી, વહેલામાં વહેલી તકે, પાલન કરવા લાગીએ.
કેદમાં રહ્યે રહ્યે પણ સુખ માણી શકાય
આનંદો ! સારા સમાચાર એ છે કે જેલના કાયદાઓને સ્વીકારીને તેનો પૂર્ણતઃ અમલ કરવા લાગ્યા તેમજ પછી જેલર જોડે સહકારમય વર્તાવ કરવાનું કર્યા પછી પણ જીવન સુખેથી વીતી શકે છે.
બીજા શબ્દોમાં કહીએ તો, કેદી તરીકે પણ સુખી જીવન વ્યતિત કરવું શક્ય છે, કેમકે મૂળતઃ જેનાં સંચાલનની દોરવણી માટે નાણાંની ભૂમિકા માર્ગદર્શક તરીકેની નક્કી થઈ હતી એવી અર્થ વ્યવસ્થાની આ જેલ આપણાં સુખ માટે બનાવાઈ હતી . નાણાં જેનું વાહન છે એવા અર્થ વ્યવસ્થાના નિયમો જીવનની અર્થ વ્યવસ્થા માટેનો તખતો બિછાવે છે.
જેલના નિયમોને આપણે જો એ સંદર્ભમાં શીખીએ અને જેલરની સુચના પણ એ પરિપ્રેક્ષ્યમાં સમજીએ તો બિન-નાણામય જીવન માંડવા માટે આ કેદમાંથી ભાગી છૂટવા માટે ભોંયરાઓ ખોદવાની મહેનત કરવા પાછળ શક્તિ વ્યય કરવાને બદલે એ નિયમોને જીવન સુખમય બનાવવા પાછળ કામે લગાડવા માટે મગજ દોડાવવામાં આપણું શ્રેય છે.
અર્થવ્યવસ્થા આપણાં જીવન માટે રચાયેલ એક સેવા છે
એટલું હંમેશા યાદ રાખીએ કે મહત્ત્વ આપણાં જીવનનું, એ જિંદગીની જીવવાની આપણી રીતનું છે. અર્થ વ્યવસ્થા આ રીતરસમોને સરળ, પદ્ધતિસરની બનાવા માટે પ્રયોજાયેલ છે.
આપણા જીવનમાં અર્થ વ્યવસ્થાનું મહત્ત્વ એટલા સારૂ છે કે હવે તે આપણા જીવન સાથે ખુબ ગાઢપણે વીટળાઇ ગયેલ છે. નાણાની મદદથી થતા વ્યવહારોની દોરવણી અર્થ વ્યવસ્થામાં એટલી હદે વણાઈ ગયેલ છે કે નાણા વગરની અર્થ વ્યવસ્થા, અને પરિણામે, એ અર્થ વ્યવસ્થા વિનાનું આપણું જીવન, અશક્યવત જ બની ગયેલ છે.
પરંતુ તેના કારણે એ મૂળભુત હકીકત બદલાતી નથી કે નાણાં તેમ જ અર્થ વ્યવસ્થા એ બન્નેની પ્રાથમિક ભૂમિકા તો આપણે નક્કી કરેલાં આપણા જીવનનાં સુખોના મુકામો સિદ્ધ કરવાના માર્ગના આપણા માટેના તેઓ પથદર્શકો છે.
આપણા જીવનમાં નાણા પ્રેરિત અર્થ વ્યવસ્થાનુ ગમે તૅટલું મહત્ત્વ હોય તો પણ આપણે તેની અને આપણી ભૂમિકાને ઉલટસુલટ થવા ન દેવી જોઈએ. અર્થ વ્યવસ્થા આપણાં જીવનના આર્થિક વ્યવહારોને પધ્ધતિસરના અને સરળ બનાવવા માટે સર્જાયેલ છે. આપણા જીવનને તેને તાબે કરી દેવાની કોઈ જરૂર નથી. આપણા જીવનને આપણે અર્થ વ્યવસ્થાની કેદમાં પુરાવા ન દેવું જોઈએ કે ન તો આપણી મુનસફી મુજબનાં, કુદરતી રીતે મુકત રહેવા સર્જાયેલ, જીવનની લગામ આપણા પથદર્શક થવા સર્જાયેલ નાણાને તાબે થવા દેવાય.
આપણા જીવનનો અધિષ્ઠાતા પૈસો નહીં પણ ખુદ આપણે જ
આપણા જીવનનાં સુખની પ્રાપ્તિના માર્ગનાં અર્થ વ્યવસ્થા અને નાણાં એ સાધનો છે, તેમને આપણા જીવનનાં સાધ્ય તરીકેની ભુમિકામાં બેસાડી ન દેવાય તે જોવાનું આપણા હાથમાં છે.
જેલના નિયમો ન સમજવા કે જેલરની સુચનાઓ ન માનવી એ તેમને આપણા પર હાવી થવા દેવાનો સીધો માર્ગ છે. અર્થ વ્યવસ્થાના નિયમો સમજવાથી તેમ જ નાણાના ઉપયોગોને સમજી લેવાથી આપણે તેમને આપણા જીવનને સુખી બનાવવામાં – જેલમાં રહ્યે રહ્યે પણ – કામે લગાડી શકીએ છીએ.
પણ જો નાણાને આપણી જીવન શૈલી પર છવાઈ દેવાની તક આપી તો તો પછી નાણાં આપણને ગુલામ બનાવી દેશે. જીવનને નાણાંના ઉપાર્જનની પાછળ વેડફાવા ન દેવું જોઇએ. નાણાં પેદા કરવાં એ આપણા જીવનનો હેતુ નથી – ન હોઈ શકે. આપણા જીવનનો હેતુ નક્કી કર્યા પછી નાણાની ઉપલબ્ધિ અને વ્યવસ્થા એ હેતુને સિદ્ધ કરવા પુરતી જ હોવી જોઈએ.
અર્થ વ્યવસ્થાના મૂળભુત નિયમોની સીમાની અંદર, આપણે ધારેલાં સુખની પ્રાપ્તિ માટે આપણે નક્કી કરેલ આપણી આગવી અર્થવ્યવસ્થા કે તેને લગતા નિયમોને નાણા રૂપી જેલર પણ માન્ય રાખશે.
અર્થવ્યવસ્થાને સમજવાથી જીવન સુખમય બનશે અને વ્યક્તિગત નિયમો ઘડી શકાશે
અર્થ વ્યવસ્થાને સમજવાની દિશામાં પહેલું પગલું આપણા જીવનનાં અર્થશાસ્ત્રનાં આયોજનની સંરચના તૈયાર કરવા માટે બે માર્ગો પરની સફર ભણી લઈ જાય છે.
પહેલા માર્ગ પર આપણને સમજાશે કે આપણા રોજબરોજનાં જીવનમાં અર્થ વ્યવસ્થાનું અગત્ય શું છે અને તે શી રીતે કામ કરે છે અને તેમાં નાણાની ઉપયોગીતા કેમ અને શી રીતે છે. સુખી થવા માટે, અર્થ વ્યવસ્થાના દાયરામાં રહીને, આપણે આપણાં જીવનની સંરચના ઘડવી જોઈશે અને તેની સાથેના સંલગ્ન નિયમો ઘડવા પડશે. એક વાર આ વાત સ્વીકાર્યા પછી આ બધું સમજવું અને અમલમાં મુકવું એ પહેલી નજરે દેખાય છે એટલું મુશ્કેલ કામ નથી.
પણ આ એક માર્ગ પર સફર કરી લેવાથી પુરેપુરો અર્થ નહીં સરે. એ માટે અર્થ વ્યવસ્થા અને નાણાંને અતિક્રમીને આપણે આપણા પોતાનાં જીવનના નિયમોની કેડી ખોળવાની અને કંડારવાની છે. અર્થ વ્યવસ્થા અને તેના નિયમો તેમજ નાણાંની ભૂમિકાને સમજી લીધા પછી આપણે તેમને આપણાં પોતાનાં જીવનના હેતુઓના, અને સુખ માટે એ હેતુઓની સિદ્ધિના માર્ગના, પરિપ્રેક્ષ્યમાં ઢાળવાના છે. આ પ્રક્રિયા દરમ્યાન જે નિયમો આપણે ઘડીશું તે આપણી પોતીકી અર્થ વ્યવસ્થાને સુનિશ્ચિત કરશે. એ નિયમો આપણાં પોતાનાં સુખની સિદ્ધિના માર્ગ પરનાં આપણા દિશાસુચક યંત્રોની ગરજ સારશે.
આવશ્યકતા પુરતી અર્થયવસ્થાને સમજવાની શરૂઆત
આપણાં રોજબરોજનાં જીવનને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સ્પર્શતી અર્થ વ્યવસ્થાની મૂળભુત સમજણ ન કેળવવાથી જીવનમાં અચાનક જ આશ્ચર્યોના સામના કરવાના પ્રસંગો બનતા રહેશે, જેનાં પરિણામો કષ્ટદાયક નીવડી શકે છે. ભાવવધારા જેવી દરરોજ છાપામાં વાંચવા મળતી એક જ બાબતનું ઉદાહરણ લઈએ. ભાવવધારો એ એવી ઉધઈ છે જે આપણી બચત અને બચત દ્વારા એકઠી કરાયેલ સંપત્તિને કોરી ખાય છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વધતા જતા ભાવોને કારણે દર મહિને કેટલા વધારે ને વધારે રૂપિયા જરૂરી બનતા જાય છે એ વાતને જ યાદ કરીશું તો ભાવવધારાની આપણી આવક અને બચત પરની આર્થિક અસરો સમજાઈ જશે. બહુ સામાન્ય હિસાબ માંડીશું તો પણ સમજાઈ જશે કે આજની જીવન શેલી મુજબ જો આજે આપણને મહિને દસ હજાર રૂપિયાની જરૂર પડે છે તો દર વર્ષે ૬% ભાવ વધતા રહે તો એ જ જીવન શૈલી ટકાવી રાખવા માટે દસ વર્ષ પછી મહિને કેટલા રૂપિયાની જોગવાઈ કરવી આવશ્યક બની રહેશે. ભાવવધારાની આર્થિક અસરોને ન સમજવાની ભુલ, કે આળસ, ની કિંમત આપણે કથળતી જતી જીવન શૈલી કે ભાવિ જીવનનાં ધ્યેયોની પ્રાપ્તિની નિષ્ફળતાઓનાં સ્વરૂપે અવશ્યપણે ચુકવવી પડતી હોય છે.
આપણા જીવનને સ્પર્શતી અર્થ વ્યવસ્થાની અસરોને સમજવા માટે આપણે અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટ કરવાની જરૂર નથી, કે નથી જરૂર વ્યાવસાયિક અર્થશાત્રી બનવાની. આપણે તો વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓએ સમયે સમયે રજુ કરેલા આર્થિક સિદ્ધાંતો કે નિયમોની આપણાં રોજબરોજનાં જીવનને સ્પર્શતી અસરો પુરતી સમજ કેળવવાની રહે છે. એટલું જ સમજવાથી પણ અર્થ વ્યવસ્થાની કેદમાં જીવન કેમ સુખેથી વીતાવી શકાય એટલું માર્ગદર્શન તો મળી રહેશે.
તો ચાલો અર્થ વ્યવસ્થાની કેદના નિયમો સમજીએ.
ક્રમશઃ
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ગરીબોના ખોરાક બરછટ અનાજના અચ્છે દિન આવશે
નિસબત
ચંદુ મહેરિયા
ભારતની પહેલથી સંયુક્ત રાષ્ટ્રસંઘે ૨૦૨૩ના વરસને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ઘોષિત કર્યું છે. અગાઉ ૨૦૧૮માં ભારત સરકારે નેશનલ મિલેટ્સ યર મનાવ્યું હતું. આ ઉજવણીનો ઉદ્દેશ મિલેટ્સ એટલે કે પોષણયુક્ત બરછટ અનાજના મહત્વને સ્થાપિત કરી, તેનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રસાર કરવાનો છે. બાજરી, મકાઈ, જુવાર, રાગી, કોદરા કે કોદરી જેવા બાર પ્રકારના ધાન્ય બરછટ અનાજ કે જાડું ધાન્ય કહેવાય છે. પોષણના પાવરહાઉસ જેવા સ્વદેશી બરછટ અનાજ સુપરફૂડ છે. તે પોષકતત્વોથી ભરપૂર અને આરોગ્યપ્રદ છે. જો દેશ-વિદેશમાં બરછટ અનાજનો વપરાશ વધે તો પોષણનું સ્તર ઉંચુ આવી શકે તેમ છે.
જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અનાજની તીવ્ર તંગી હતી. મોટાભાગનું અનાજ વિદેશોથી મંગાવવું પડતું હતું. તત્કાલીન સરકારને તેનો ઉકેલ હરિયાળી ક્રાંતિમાં જણાયો. એટલે ઘઉં-ચોખાનું ઉત્પાદન વધારી ખાધ્યાનમાં આત્મનિર્ભરતા હાંસલ કરી છે. આજે આપણા દેશમાં ઘઉં-ચોખાનો સરપ્લસ પુરવઠો છે. આ પહેલો તબક્કો હતો. પણ હવેનો તબક્કો ના માત્ર પેટપૂરતું અન્ન પણ પોષણયુક્ત અનાજનો છે. ઘઉં-ચોખા કરતાં બરછટ અનાજમાં વધુ પોષકતત્વો છે એટલે તેનો દેશ અને દુનિયાને પરિચય કરાવી તેનો લાભ અપાવવા સરકાર પ્રયાસરત છે.
બરછટ અનાજના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો વીસ ટકા છે. તો એશિયામાં એંસી ટકા છે. ચીન, અમેરિકા, નાઈજીરિયા, નાઈજર, આર્જેન્ટિના અને સુદાન સહિત દુનિયાના ૧૩૦ દેશોમાં તેનું ઉત્પાદન થાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બરછટ અનાજ એક પ્રકારે ઘાસના ફળ છે. દર વરસે પાકતા નાના બી વાળા ઘાસનો સમૂહ છે. તેને ઘાસના બીજ કે બીવાળા ફળ પણ કહી શકાય. આ ધાન્ય ફળદ્રુપ, રેતાળ, પથરાળ, ખારી કે એવી કોઈપણ જમીનમાં ઉગી શકે છે. તેનો પાક ઘણી ગરમી સહન કરી શકે છે. તેની ખેતી ઓછા પાણીથી થઈ શકે છે.તે ઓછા ખર્ચે, ઓછા સમયમાં પાકે છે. તેને ગ્લોબલ વોર્મિંગની ઓછી અસર થાય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓન ઉપયોગ વિના સરળતાથી પાકે છે. મુખ્યત્વે હલકી ગુણવત્તાની જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો, જે ઓછા પાણીથી સૂકી ખેતી કરે છે, તેઓ તેનું વાવેતર કરે છે. આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં તેની ખેતી સવિશેષ થાય છે.
મિલેટ્સમાં ફાઈબર, પ્રોટીન, મિનરલ્સ અને વિટામીન ભરપૂર માત્રામાં હોય છે. તે પોષણયુક્ત અને જીવનરક્ષક છે. તેનો આહારમાં ઉપયોગ થાય છે ત્યારે શરીરમાં તે ધીમે ધીમે ગ્લુકોઝમાં ફેરવાય છે એટલે સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે. તેમાં રહેલ ફાઈબર આંતરડાની દીવાલ પર ફિલ્ટર બનાવે છે . આ ફાઈબર ખોરાકના ગ્લુકોઝ રૂપાંતરને ધીમું કરે છે. તેને કારણે લોહીના પ્રવાહમાં પોષકતત્વો માટે વધુ જગ્યા ઉભી થઈ શકે છે. સ્વાદિષ્ટ અને કાર્બોહાઈડ્રેટ્સયુક્ત ખોરાકની તુલનાએ બરછટ ખોરાકથી વધુ પોષણ મળે છે. પચવામાં આસાન મિલેટ્સનો આહાર વજન નિયંત્રિત કરે છે, હાડકાં મજબૂત કરે છે અને લોહી વધારે છે. વજન વધારતા ગૂલેટન( એક જાતનો પ્રોટીન) નું પ્રમાણ મિલેટસમાં બહુ ઓછું હોય છે.
બીજી ઘણી બાબતોની જેમ બરછટ અનાજને જગત ચોકમાં મૂકવાનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવે છે. બોંતેર દેશોના સહયોગથી ૨૦૨૧માં ભારતે યુનોની બેઠક સમક્ષ વિશ્વ કક્ષાએ મિલેટ્સ યરની ઉજવણીનો પ્રસ્તાવ મંજૂર કરાવ્યો હતો. ૨૦૨૩-૨૪ના કેન્દ્રીય બજેટમાં પણ બરછટ અનાજના બનેલા ઉચ્ચકક્ષાના ભોજનની પ્રસંશા કરવામાં આવી છે. ભારત જેની અધ્યક્ષતા કરી રહ્યું છે તે જી-૨૦ની બેઠકોમાં મિલેટ્સની બનેલી વાનગીઓ પિરસવામાં આવી રહી છે. એક હજાર જેટલા સ્ટાર્ટ અપ્સ મિલેટ્સના અનૂઠા ઉત્પાદનો બજારમાં મૂકવાના છે. ઘઉં-ચોખા કરતાં બરછટ અનાજની એમએસપી વધારે નક્કી કરી છે. જોકે ૨૦૧૩માં યુપીએ સરકારે સૌ પ્રથમ વખત બરછટ અનાજની એમએસપી વધારી હતી તે પણ નોંધવું જોઈએ.
બરછટ અનાજના ‘ખાયે બુઢા જુવા હો જાય’ ની હદના ગુણગાન ગવાય છે. તેની પ્રશસ્તિનો આશય તેની ઉપયોગિતા છે કે બીજો પણ છે તે પણ ચર્ચાનો મુદ્દો છે. ભારતમાં ૨૦૨૧-૨૨માં મિલેટ્સનું ઉત્પાદન ૧૫૯૨ કરોડ મેટ્રિક ટન થયું હતું. પરંતુ માત્ર એકા જા ટકો નિકાસ થઈ હતી. એટલે સરકાર તેને પ્રોત્સાહન આપીને, નિકાસ વધારી, વિદેશી હૂંડિયામણ કમાવા માંગતી હોવાનો આશય પણ હોઈ શકે. એશિયા-આફ્રિકાના લગભગ સાઠ કરોડ લોકો, મોટેભાગે ગરીબો, તેનો ખોરાકમાં ઉપયોગ કરે છે. છતાં દુનિયામાં ૭૬.૮ કરોડ અને ભારતમાં ૨૨.૪ કરોડ લોકો કુપોષિત છે. જો જાડું ધાન્ય કુપોષણનો એક માત્ર ઈલાજ હોય તો મુખ્યત્વે તે જ ખાતા ગરીબ આદિવાસીઓના બાળકો કુપોષિત કેમ છે ? જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબોને મફત કે સસ્તા ભાવે ઘઉં-ચોખાને બદલે બરછટ અનાજ કેમ અપાતું નથી? તેવા સવાલો થવા સ્વાભાવિક છે.
એક સર્વ પ્રમાણે ૧૯૬૨માં ભારતમાં બરછટ અનાજનો પ્રતિવ્યક્તિ વાર્ષિક ઉપયોગ ૩૩ કિ.ગ્રા. હતો. ૨૦૧૦માં તે ઘટીને માત્ર ૪ કિ.ગ્રા. થઈ ગયો છે. ૨૦૧૮ના નેશનલ મિલેટ્સ યરમાં ભારત સરકારે કેટલાક જાડા ધાન્યોને ન્યૂટ્રી સિરિયલ્સ જાહેર કર્યા પછી તેના વપરાશમાં મોટો ઉછાળો જોવા મળ્યો નથી. હરિત ક્રાંતિના દાયકા પછી, ૧૯૭૦ સુધી, તેનો વપરાશ ૨૦ ટકા હતો પણ હવે ૬ ટકા જ છે. ૨૦૨૨-૨૩ના રવિ પાકમાં જાડા ધાન્યનો વાવેતરા વિસ્તાર પાંચ ટકા અને છેલ્લા દાયકામાં પંદર ટકા ઘટ્યો છે. ૧૯૫૫-૬૫માં દેશમાં ૩.૫ કરોડ હેકટર જમીનમાં નવ મિલેટ્સ ઉગાડાતા હતા હવે ૧.૪ કરોડ હેકટરમાં પાંચ ઉગાડાય છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે આજે ૧.૫ કરોડ ટન ઘઉં અને ૧.૬ કરોડ ટન ચોખાનો બફરસ્ટોક છે પરંતુ બરછટ અનાજનો સ્ટોક ૧૧.૯ લાખ ટન જ છે. એમએસપીથી સરકારી ખરીદી પણ ઘઉં-ચોખાની જ થાય છે ત્યારે મિલેટ્સ રિવોલ્યુશન બહુ આઘુ ભાસે છે.
ભારતીયો આરોગ્યના ભોગે પણ સ્વાદિષ્ટ ભોજન પસંદ કરે છે. તેમની આહારની ટેવો બદલવાનું કામ બહુ ધીરજ માંગી લેતું અને લાંબા ગાળાનું છે. કેટલાકા લોકો માટે મિલેટ્સનો ખોરાકમાં ઉપયોગ ફેશનેબલ છે. વળી જાડા ધાન્યને મુખ્ય આહાર બનાવી શકાયા તેવી શક્યતાઓ બહુ ઓછી છે. તે ઘઉં-ચોખાનો વિકલ્પ બનવાને બદલે તેના આહારમાં પૂરક બની શકે. બરછટ અનાજની આહારમાં ઉપયોગિતા નિ:શંક ઘણી વધારે છે. પરંતુ તેનો વપરાશ સતત ઘટતો રહ્યો છે અને ગરીબોને પણ તેનાથી દૂર કરાયા છે, ત્યારે ફરી તેને ખોરાકની મુખ્ય ધારામાં સામેલ કરવાનો પડકાર આસાન નથી.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મૂલ્યવાન એટલે જ માણસ
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના
દિનેશ.લ. માંકડ
બાળપણમાં સાંભળેલી વાર્તા યાદ આવે છે .છ પ્રજ્ઞાચક્ષુઓ હાથીનો સ્પર્શ કરીને; હાથી કેવો છે તે અનુમાન લગાવતા હતા.કોઈએ સાપ જેવો તો કોઈએ થાંભલા જેવો કહ્યો..કોઈએ સૂપડાં જેવો તો કોઈએ દીવાલ જેવો. હાથીનું હાથીત્વ કોઈ કહી ન શક્યું.. શાળા કોલેજ શિક્ષણ પૂરું કરે એટલે સમાજને કોઈ ડોક્ટર મળશે તો કોઈ ઈજનેર કે કોઈ અન્ય વ્યવસાયી પણ તેમાંથી માણસ કેટલા મળશે તે ખબર ન પડે.
કેળવે તે કેળવણીની પાયાની વાતતો વર્તમાન શિક્ષણમાંથી લગભગ લુપ્ત જેવી જ થઇ ગઈ છે. પરિણામ સ્વરૂપ સમાજમાં અનેક સમસ્યાઓનું સર્જન થાય છે અને એમાંથી અનેક વણઉકેલી રહે છે.કમનસીબે અંગ્રેજકાળમાં મેકોલેએ દાખલ કરેલી શિક્ષણ પદ્ધતિએ તો ભારતીય શિક્ષણનું કલ્પી ન શકાય તેટલું અહિત કર્યું છે. છેક હજી પણ વિશ્વફલકની સાથે રહેવા માટે આપણે મોટાભાગે પશ્ચિમની શિક્ષણ પદ્ધતિના પ્રવાહમાં ખેંચાવું પડે છે.પરિણામ સ્વરૂપ ઉત્તમ માણસ-નાગરિક તૈયાર કરવામાં શિક્ષણની ભૂમિકા ઓછી રહે છે. મૂલ્ય શિક્ષણનો કાં તો અભાવ છે કાં તો તેને અગ્રતા નથી.પુસ્તકિયા શિક્ષણના ભારમાં મૂલ્ય શિક્ષણને નહિવત પ્રાધાન્ય અપાય છે અથવા તો અપાતું જ નથી.અને તો ઉત્તમ માનવ તૈયાર કરવાની શિક્ષણ પાસે કઈ અપેક્ષા રાખી શકાય ?
નિર્વિવાદ છે કે પ્રાચીનકાળમાં ભારતીય ઉપખડમાં વૈદિકકાળમાં ઉત્તમ શિક્ષણપદ્ધતિ હતી. એ વાત આપણે અને સમગ્ર વિશ્વ સ્વીકારીએ છે. આપણા સદ્ભાગ્યે આપણા વેદ,ઉપનિષદ અને શાસ્ત્રો પાસે જીવનમંત્રના પાઠ વિશાળ રીતે પડેલા છે.ઉત્તમ નાગરિક- શ્રેષ્ઠ મનુષ્ય બનવા માટેના દિશા સૂચન કરે છે શાસ્ત્રીય શિક્ષણ સાથે મૂલ્ય શિક્ષણ-ચારિત્ર્ય શિક્ષણ એ શિક્ષણનો જ ભાગ હતો.
સહુ પહેલી વાત બ્રહ્નચર્યની.તમામ ઉપનિષદમાં ગુરુ -શિષ્યના પ્રથમ મિલન વખતે જ શિક્ષણ પ્રારંભ કરતા પહેલા, બ્રહ્મચર્યએ પૂર્વશરત રહેતી.આઠ કે નવ વર્ષની વયે બાળક ગુરુકુળમાં જાય એટલે ગુરુ તેને યજ્ઞોપવિત ધારણ કરાવે અને બ્રહ્મચર્યનું વ્રત લેવરાવે. શાંડિલ્ય ઉપનિષદના પ્રથમ અધ્યાયમાં યોગ ધારણમાં દસ યમમાં એક બ્રહ્મચર્ય બતાવાયું છે. तत्राहिंसासत्यास्तेयब्रह्मचर्यदयाजप| છાંદોગ્ય ઉપનિષદના આઠમા અધ્યાયના પાંચમા ખંડમાં તો બ્રહ્મચર્યનું મહત્ત્વ બતાવતાં પૂરાં ગુણગાન ગાવામાં આવ્યા છે. બ્રહ્મચર્યના માધ્યમથી બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. तद्य एवैतं ब्रह्मलोकं ब्रह्मचर्येणानुविन्दन्तितेषामेवैष ब्रह्मलोकस्तेषाꣳ सर्वेषु लोकेषु कामचारोभवति ॥ ‘ બ્રહ્મચર્ય દ્વારા મનુષ્ય ઇચ્છાનુસાર આત્માને પ્રાપ્ત કરે છે.’ ब्रह्मचर्यमेव तद्ब्रह्मचर्येण ह्येवेष्ट्वात्मानमनुविन्दते|
બ્રહ્મચર્ય શબ્દનો અર્થ સંકોચ થયો છે અને તેને શરીરક્રિયાઓ સાથે જોડી દેવાયો છે હકીકતમાં તો ‘બ્રહ્મ’ના માર્ગ પર આચરણ’ એટલે બ્રહ્મચર્ય. બાળક ગુરુકુળમાં જાય ત્યારે વિદ્યાભ્યાસના સમય દરમિયાન પરિવાર અને સમાજ સુદ્ધાથી વિમુખ રહે. કેવળ અને કેવળ શિક્ષણ જ. તમામ ભૌતિક બંધનોથી પર થયેલું મન, તેની એકાગ્રતા શિક્ષણમાં લગાવી શકે. ઉપાડેલાં દુઃખ અને અગવડથી જ જીવન ઘડતર થાય.પડકારો ઝીલવા માટે તમામ પ્રકારના સંઘર્ષોનો સામનો કરવા તૈયાર થવું એ જ પૂર્ણ શિક્ષણ. છાંદોગ્ય ઉપનિષદ તો એટલે સુધી કહે છે કે એક તરફ ચાર વેદ અને બીજી તરફ બ્રહ્મચર્ય મુકવામાં આવે તો બંને પલ્લાં સરખા રહે છે. एकतश्चतुरो वेदा ब्रह्मचर्य तथैकतः। એટલું જ નહિ પ્રશ્નોપનિષદ પણ કહે છે કે જેમણે બ્રહ્મચર્ય તપનું પાલન કર્યું હોય અને જેમના હૃદયમાં સત્ય વિરાજમાન હોય તેમને સ્વર્ગ સુખ પ્રાપ્ત થાય છે. तेषामेवैष स्वर्गलोको येषां तपो ब्रहचर्य येषु सत्यं प्रतिष्ठिम्।
સત્ય એજ પરમેશ્વર એમ આપણે સહુ બોલીએ છીએ ખરા,પણ એ કઠિન કેટલું છે એની આપણને પણ ખબર છે. મુણ્ડકોપનિષદ ભારપૂર્વક કહે છે કે, सत्यमेव जयते नानृतं सत्येन पन्था विततो देवयानः। ‘ઈશ્વર સન્મુખ જવાનો એક જ માર્ગ છે જે સત્ય છે.’ માનવમાત્ર સામાન્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક અસત્ય સાથે કે અસત્યની નજીક જીવતો હોય.અંધકાર રૂપી દિશા વિહીનતા ભોગવતો હોય અને મૃત્યુનો ભય તો સહુને સ્વાભાવિક જ છે. બૃહદારણ્યક ઉપનિષદમાં ઈશ્વરને પ્રાર્થના છે.-ॐ असतो मा सद्गमय। तमसो मा ज्योतिर्गमय।मृत्योर्मामृतं गमय ॥ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ નાન્હાલાલએ આ ઉપનિષદ વિચાર આપણામાં દૃઢ થાય એટલે આપણી માતૃભાષમાં ભાવાનુંદિત પણ કર્યો છે. “અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈજા.ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈજા.મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈજા .તુ હીણો હું છું તો તુજ દર્શના દાન દઈ જા.”
માન ,આદર વગર-શ્રદ્ધા વગર મેળવેલ વિદ્યા કદી સાર્થક જ ન થાય.પ્રત્યક્ષ દેવ આવશે કે નહિ આવે પણ જે સામે દેખાય છે તે પ્રત્યક્ષ એટલે કે માતાપિતા અને આચાર્ય જ દેવ છે .આ ભાવના હોય તો જ વિદ્યા ચડે. તૈત્તરિય ઉપનિષદના શિક્ષાવલ્લી અનુવાર્કમાં સ્પષ્ટ ગુરુ આદેશ છે मातृ॑देवो॒ भव । पितृ॑देवो॒ भव । आचार्य॑देवो॒ भव । अतिथि॑देवो॒ भव। સરળ મંત્રોમાં આ સંદેશમાં પ્રત્યેક પરિવારની અનેકાનેક સમસ્યાઓનું નિરાકરણ છે.એક વખત આદર વધે અને વિસંવાદિતા ઘટે એટલે પરિવારમાં -સમાજમાં ઉત્પન્ન થતી હકારાત્મક ઉર્જા સમાજને કેટલો તંદુરસ્ત બનાવે તે કલ્પના બહારની વાત છે.
માનવ માત્રનું અંતિમ લક્ષ્ય તે સંતોષ અને આનંદ છે.તે ક્યારે મળે ? અને એ માટે ઉપનિષદ કેવા યુવાનની અપેક્ષા રાખે છે ? તૈત્તરિય ઉપનિષદ કહે છે સમાજને એવા યુવાનોની આવશ્યકતા છે જે શ્રેષ્ઠ આચરણ વાળા હોય વૈદિકશાસ્ત્રના ઊંડા અભ્યાસુ હોય.સંપૂર્ણ નિરોગી હોય,ઉત્સાહી અને આશાવાદી હોય ,દૃઢ મનોબળ વાળા હોય વૈભવી વસુંધરાના અધિકારી હોય. युवा स्यात् साघु युवाध्यापकः। आशिष्ठो दृढिष्ठो बलिष्ठः। तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात्।
ઈશ્વરે માણસ માત્રને જન્મ એટલે જ આપ્યો છે કે તે કોઈ ધ્યેય સાથે જીવે.ધ્યેય વિનાનું જીવન જીવન જ નથી.સંઘર્ષ આવે તો પણ પડકાર રૂપ જીવીને ધ્યેય હાંસલ કરવાનો સંદેશ કઠોપનિષદનો આ મંત્ર કહી જાય છે. उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ॥ તલવારની ધાર જેવો દુર્ગમ માર્ગ હોય તો પણ ઉઠો,જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહિ. ખુબ ટૂંકી આવરદા પણ ભારતીય સંસ્કૃતિને વિશ્વફલક પર શ્રેષ્ઠ પુરવાર કરનાર સ્વામી વિવેકાનંદના ખુબ પ્રિય આ મંત્રમાં उत्तिष्ठत जाग्रत ‘ઉઠો’ અને ‘જાગો’ એમ બે શબ્દ છે.સામાન્ય રીતે બંને શબ્દને આપણે પર્યાયવાચી જ ગણીએ છીએ પણ આ તો ઉપનિષદ મંત્ર છે.એટલે ‘જાગો’ પદ નો ભાવાર્થ જાગૃત થવું એ છે .અને આ જ સૌથી અઘરી પડકાર રૂપ બાબત છે.ધ્યેયલક્ષી જ જીવનમાં કશુંક સાચું પ્રાપ્ત કરી શકાય
આત્મવિશ્વાસ અને આત્મબળ જ વ્યક્તિમાત્રને આગળ લઇ જવામાં નિમિત્ત બને છે. છાંદોગ્ય ઉપનિષદ કહે છે,: ‘नायमात्मा बलहीनेन लभ्यः।’ આત્મબળ વગર પરમાત્મા પ્રાપ્ત થતા નથી. અને એ આત્મબળને સાચા આત્મબળ તરીકે પ્રતિપાદિત કરવા માટે ,એની અંદરના માંહ્યલાને જગાડવા છાંદોગ્ય ઉપનિષદ દૃઢતાપૂર્વક કહે છે,’તું જ બ્રહ્મ છે’ तत्त्वमसि। અને એટલે સુધી કે જાગેલો બોલી ઉઠે, ‘ હું જ બ્રહ્મ છું.’ अहं ब्रह्मास्मि। ( બૃહદારણ્યક ઉપનિષદ).
આંતરિક ઉચ્ચતા પ્રાપ્તિ માટે ઉપનિષદ અતિ આગ્રહ રાખે છે.સામાન્ય માણસ કશુંક મેળવીને આનંદ મેળવે છે, પણ મનની એથી પણ ઉચ્ચતમ સ્થિતિનું નિર્માણ કરવા ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે ,’તેને ત્યાગીને તું ભોગવ. ‘तेन त्यक्तेन भुञ्जीथाः| ભાષાકીય રીતે એ વિરોધાભાષી અલંકાર છે .ત્યાગીને વળી ભોગવવાનું ! અહીં આપીને, આપ્યાના આનંદની વાત છે.મનની સર્વોત્તમ સ્થિતિ છે.જ છતાં એથી પણ આગળ વધીને ઉપનિષદ આદેશ કરે છે કે બીજાનું તો પડાવી લેવાની વૃત્તિ તો ન જ હોવી જોઈએ.. मा गृघः कस्यस्विद् घनम्’-‘ કોઈનું ધન મારુ થાય તેવું ઈચ્છીશ નહિ.’
વેદ ઉપનિષદના પ્રત્યેક મંત્ર,રુચા કે અનુવાક,પુરુષને પુરુષોત્તમ બનાવવાની દિશામાં વાત કરે છે . ભારતદેશના સુવર્ણકાળની પ્રશસ્તિ આજે ઘણાને કદાચ કલ્પિત જાગે પણ જયારે હજારો વર્ષ પહેલાના આ શાસ્ત્ર અને ઋષિ વિચાર વાંચીએ ત્યારે તે સમયે ઉત્તમ જીવન શૈલી, ઉત્તમ નાગરિક અને ઉત્તમ સમાજ જ હોય એની કોઈ શંકા એક ભારતીયને તો ન જ હોવી જોઈએ.બલકે તેના આદર્શોમાંથી જરા સરખું પાલન પોતાના જીવનમાં થઇ શકે તો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સ્વામી વિવેકાનંદ કહે છે: ‘ ઉપનિષદો શક્તિની ખાણ છે. તે શક્તિ પ્રદાન કરવા સમર્થ છે જર્મન તત્ત્વચિંતક આર્થર શોપન હોવર ઉપનિષદ માટે કહે છેઃ’ ‘દરેક વાક્યમાંથી કેટલો ગહન, મૌલિક ને ગૌરવપૂર્ણ વિચારસમૂહ પ્રાપ્ત થાય છે આખી પૃથ્વીમાં ઉપનિષદ જેવો ફલોત્પાદક ને ઉચ્ચ ભાવનાઓને ઉદ્દીપન કરનાર ગ્રંથ ક્યાંય નથી આ શબ્દોની પુષ્ટિ કરતાં અંગ્રેજ તત્ત્વવેત્તા મેક્સ મૂલરે કહ્યું’ ‘જો શોપન હોવરના આ શબ્દોને કોઈ ટેકાની જરૂર હોય તો હું તે આપવા તૈયાર છુ’ પાશ્ચાત્ય વિદ્વાન ડૉ. એનીબેસન્ટ કહે છે : ‘મારા મતે ઉપનિષદો માનવ મસ્તિષ્કની સર્વોચ્ચ ફળશ્રુતિ છે.’
પ્રત્યેક ઉપનિષદનો પ્રત્યેક મંત્ર માનવમાત્રને ઉત્કૃષ્ટ બનાવવાનો સંદેશ લઈને આવે છે.અહીં તો વિહંગાવલોકનની જેમ તેના કેટલાંક ઉદાહરણથી સંતોષ માનીએ -કશુંક પામીએ.
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
-
ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪૯
ચિરાગ પટેલ
उ. १८.२.९ (१६७७) अस्तावि मन्म पूर्व्यं ब्रह्मेन्द्राय वोचत । पूर्वीर्ऋतस्य बृहतीरनूषत स्तोतुर्मेधा असृक्षत ॥ (वालखिल्य / आयु काण्व)
સ્તુતિ કરવા યોગ્ય હે ઋત્વિજો! ઇન્દ્ર માટે સનાતન મનન કરેલા સ્તોત્રોનો પાઠ કરો. પૂર્વ યજ્ઞોના બૃહતી છંદમાં સામગાન કરો. એનાથી સ્તોતાઓની મેધા બુદ્ધિ ઉત્પન્ન થાય છે.
ઋષિ અહી સામગાન માટે છંદનું મહત્વ દર્શાવે છે. પ્રાચીન કાળથી પ્રસિદ્ધ બૃહતી છંદમાં સામગાન કરવાથી એ છંદ મગજની શક્તિને વધારે છે એમ ઋષિ કહે છે. વળી, એ માટે સ્તોતાએ સ્તોત્ર સ્મરણશક્તિના ઉપયોગથી ગાવાનો છે. આજના યુગમાં વિદ્યાર્થીઓને સ્મરણ શક્તિ ખિલવવા અને બુદ્ધિ શક્તિ સતેજ કરવા અનેક યુક્તિ-પ્રયુક્તિઓ શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ બૃહતી છંદમાં રચાયેલા મંત્રોનો મુખપાઠ કરી ગાવાનો પ્રયોગ કરવો જોઈએ, અને એના પરિણામો નોંધવા જોઈએ.
उ. १८.४.२ (१७००) पवमाना दिवस्पर्यन्तरिक्षादसृक्षत । पृथिव्या अधि सानवि ॥ (निध्रुवि काश्यप)
સંસ્કારિત થનારો દિવ્ય સોમ અંતરિક્ષથી ધરતીના ઊંચા ભાગમાં પ્રવાહિત થાય છે.
આ સામમાં સોમની દિવ્યતાનો ઋષિ નિર્દેશ કરે છે. સૂર્ય કિરણોમાં રહેલાં ફોટોનનો પ્રવાહ વાતાવરણના ઉપરના ભાગે વિખેરણ પામી પ્રવાહિત થાય છે. એ જ દિવ્ય સોમ છે.
उ. १८.४.११ (१७०९) य इदं प्रतिपप्रथे यज्ञस्य स्वरुत्तिरन् । ॠतूनुत्सृजते वशी ॥ (भरद्वाज बार्हस्पत्य)
જે અગ્નિ સંસારના કલ્યાણ માટે યજ્ઞમાં ઉપસ્થિત અવરોધોને દૂર કરે છે. જગતને પોતાના વશમાં રાખનાર તથા સર્વે ઋતુઓને બનાવનાર છે, એ જ એને વિસ્તાર આપનાર છે.
અગ્નિ યજ્ઞમાં પ્રજ્વલિત થાય એટલે સર્વે અશુદ્ધિઓનો નાશ થાય છે. વળી, એ યજ્ઞરૂપી જીવની નકારાત્મક ઊર્જાનો પણ નાશ કરે છે. અગ્નિથી જ સર્વે જીવોની દેહધાર્મિક ક્રિયાઓ થાય છે એમ સર્વે જડ પદાર્થોની વિવિધ ક્રિયાઓ પણ અગ્નિને આભારી છે. અગ્નિ એટલે કે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર ઋતુઓ જન્માવે છે. અગ્નિથી જ બ્રહ્માંડનો વિસ્તાર થયો છે. ઋષિના આ બધાં અવલોકન પ્રશંસાને પાત્ર છે.
उ. १९.१.८ (१७१८) आ मन्द्रैरिन्द्र हरिभिर्याहि मयूररोमभिः । मा त्वा के चिन्नि येमुरिन्न पाशिनोऽति धन्वेव ताँ इहि ॥ (विश्वामित्र गाथिन)
હે ઇન્દ્ર! આનંદદાયક, મોરપંખ જેવા વાળવાળા ઘોડા સહિત યજ્ઞમાં આવો. વ્યાધની જેમ માર્ગમાં જાળ બિછાવનાર આપને અટકાવી ના શકે, એમને રણની જેમ છોડીને આવો.
અહિ ઋષિ ઇન્દ્રના ઘોડાને મોરપંખના વાળવાળો કહે છે. એટલે કે, આકાશમાં ઉત્પન્ન થતું સાત રંગનું મેઘધનુષ અથવા સાત રંગના સૂર્ય કિરણો એ જાણે મેઘરૂપી ઇન્દ્રના ઘોડાના વાળ છે એવી ઋષિ કલ્પના કરે છે. રણ કે મરુ પ્રદેશમાં કોઈ રહેવાની ઈચ્છા ના કરે. એટલે, એવી રીતે ઇન્દ્રને સર્વે અવરોધો પાર કરી યજ્ઞમાં આવવા માટે ઋષિ કહે છે. અન્ય એક અર્થમાં એવું કહી શકાય કે, ઋષિ મનરૂપી ઇન્દ્રને યજ્ઞરૂપી જીવમાં માયાના પ્રલોભનોથી મુક્ત રહેવાનો નિર્દેશ કરે છે.
उ. १९.२.५ (१७२९) या दस्रा सिन्धुमातरा मनोतरा रयीणाम् । धिया देवा वसुविदा ॥ (प्रस्कर्व काण्व)
આ અશ્વિનીકુમારો શત્રુનાશક, નદીઓના ઉત્પત્તિકર્તા, વિવેકપૂર્વક કર્મ કરનારને સંપત્તિ આપનાર છે.
આ સામમાં નદીનો અર્થ પૃથ્વી પર વહેતી નદી કે આકાશમાં વિદ્યમાન આકાશગંગા કે શરીરમાં વહેતો કુંડલિની પ્રવાહ કરી શકાય એમ છે. કારણ કે, એના ઉત્પત્તિકર્તા અશ્વિનીકુમારો છે જે પ્રભાતમાં ઊગતો સૂર્ય કે એના રોગનાશક અને આરોગ્યપ્રદ કિરણો છે. સૂર્યનો એક અર્થ આત્મા પણ છે. વળી, જે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે છે તેને સંપત્તિ મળે એવી ભાવના ઋષિ વ્યક્ત કરે છે.
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com
-
વાસંતી વાયરો
દેવિકા ધ્રુવ
આ વાસંતી વાયરાને હૈયે ઝીલું, ઝીલી ઝીલીને આખું ગગન ઘૂમું.
ગગનની પાર ઘૂમી ભીતર વળું,
ભીતર વળીને પૂરો સમંદર ભરું.
શીતલ શીકરથી હવા ભીની કરું,
સ્નેહભીની લહેર થકી જીવન સીંચું.. આ વાસંતી વાયરાને હૈયે ઝીલું.જીવનની મહેકને ચોપાસ વીંટું,
વીંટી વીંટીને, બસ ગુલશન વીંઝુ.
ગરવા આ વીંઝણાને શબ્દે ગૂંથું,
ગૂંથી ગૂંથીને કોઈ સરગમ રેલું.. આ વાસંતી વાયરાને હૈયે ઝીલું.સરગમ સંગ ગાનને વ્હેતાં મૂકું,
વહેતાં બે ગીતના ઠમકે ઝૂમું.
ઝૂમતાં, ડોલતાં, મુક્તમન નાચું..
ને દૂર આભે ઊડું, પરમ પ્રેમમાં ડૂબું… આ વાસંતી વાયરાને હૈયે ઝીલું.
સુશ્રી દેવિકાબેન ઘ્રુવનાં સંપર્ક સૂત્રોઇ-મેલ ddhruva1948@yahoo.com -
ઊર્મિલ સંચારઃ પ્રકરણ – ૬ અકળ દોરી
આયુર્વેદિક કેન્સર સારવારમાં ખોટા આંકડા લખવામાં ડો.અંજલિનો હાથ ન હતો. ગુનેગાર ડો.રાકેશ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી. શોમ, અંજલિ સાથેના તૂટેલો વિશ્વાસ દોરને સાંધવા પ્રયત્ન કરે છે. અંજલિ ભારત જવાની તૈયારીમાં છે. શોમ માતાની અણધારી માંદગીથી ચિંતિત છે, ત્યારે…
સરયૂ પરીખ
શોમ સાથે ચર્ચા કરતા ડોક્ટર બોલ્યા, “માહીની તબિયત પર આવી પડેલ આપત્તિને કેમ કરીને નિવારવી? તે છપ્પન વર્ષના જ છે અને બીજું કોઈ દરદ નથી…”
“અમે અંદર આવી શકીએ?” રમેશ બારણું પકડીને ઊભા હતા અને અંજલિ, દાખલ થતા પહેલા પૂછી રહી હતી. “હા. જરૂર આવો.” જવાબ મળતા તેઓ અંદર દાખલ થયા. શોમનું દિલ ખુશીનું માર્યું જોરથી ધડકવા લાગ્યું. વિસ્ફારિત નયને અંજલિ સામે જોઈ રહ્યો. રમેશે નજીક આવી જરા સ્પર્શ કરી તેનું ધ્યાન ખેંચ્યું.
“હા, તો અમે વાત કરતા હતા કે, રોગનિદાન સારું લાગે છે. સામાન્ય તંદુરસ્તી સારી હોવાથી શ્રીમતી જોષી જલ્દી સાજા થઈ જશે. આગળ જતા અમુક કારણો, જેમકે ટ્યુમર કેટલી ત્વરાથી વધે છે, અને બીજી કોઈ ગૂંચવણ ઊભી થાય તો ઈલાજ બદલવો પણ પડે. હવે તમારું આયુર્વેદિક સારવાર માટે શું સૂચન છે તે વિશે જોઈએ…ડોં.મારુ, તમારો અભિપ્રાય જણાવશો?” ડોક્ટરે અંજલિને પૂછ્યું.
અત્યાર સુધી આત્મવિશ્વાસ સાથે બોલી રહેલો શોમ સાવ શાંત બની, વિદ્યાર્થીની માફક સાંભળી રહ્યો. વ્યવસ્થિત સારવારનો ક્રમ નક્કી કરી મિટિંગ પૂરી થઈ.
બહાર નીકળતા જ શોમ બોલ્યો, “અંજલિ! તું અહીં કેમ?”
“ભારત જવા નીકળવાની તૈયારી જ હતી અને સ્ટિવનનો ફોન આવ્યો કે ‘આંટી બેભાન થઈ ગયાં હતાં અને બ્રેઈન ટ્યુમરની શક્યતા લાગે છે. તેણે જણાવ્યું કે કયા સ્તરની ગંભીરતા છે તે કાલે ખબર પડશે.’ અને તરત મેં એક સપ્તાહ પછીની ટિકિટ કરાવી નાખી.” અંજલિ રમેશ તરફ ફરીને બોલી, “આંટીને મળવા જઈશું?” અને શોમને ત્યાં જ વિચાર કરતો છોડીને તેઓ નીકળી ગયા.
જોષી-નિવાસ પહોંચીને જોયું તો માહી તેની પથારીમાં રડતી હતી. રમેશને જોઈને વધારે રડી પડી. “બસ, હવે હું નહીં બચુ. ડોકટરો તો કહે પણ…મને આવી કેંસરની બીમારી થાય જ કેમ? મુંબઈ મારી મમ્મીને છેલ્લી વખત મળવા જવું છે.”
“અરે, તું જો તો ખરી, તારી ફિકરમાં કોણે ભારત જવાનું માંડી વાળ્યું છે!”
અંજલિ ધીમેથી અંદર આવી અને માહીના ચહેરાના ભાવ વિજળીના ચમકારાની જેમ બદલાઈ ગયા. અંજલિ નજીક આવતા, તેના બંને હાથ પકડીને માહીએ પોતાની બાજુમાં બેસાડી…અને તેની માંદગીનાં સમાચાર સાંભળીને અંજલિ રોકાઈ ગઈ છે, તે સાંભળતાં માહી ગદગદ થઈ ગઈ.
“આંટી, બહુ ભૂખ લાગી છે. શું જમશું?”
“ફ્રીઝમાંથી શોધી કાઢ, હું હમણાં રસોઈમાં આવું છું.” માહી ઝડપથી ઊભી થઈ તે જોતા રમેશ હસીને બોલ્યો, “ઓ મેડમ! જરા સંભાળીને…”
અમુક વ્યક્તિનો સ્પર્શ પારસમણિ જેવું કામ કરે છે. એ જૂજ અહોભાગ્ય હોય છે, જ્યાં સોનુ બનવાની ક્ષમતા સામેના વ્યક્તિત્વમાં મળી આવે છે. અશ્રદ્ધા અને ચિંતાની સાથે સમજ અને આશા પણ જોડાઈ ગયાં, અને મુશ્કેલીને સ્વીકારવાનો દ્રષ્ટિકોણ બદલાયો. એ દરમિયાન શોમ અને મોટીમાસી પણ આવી ગયા અને થોડા સમય માટે માહી હળવીફૂલ બની, સ્વભાવગત બીજાની સંભાળ લેવામાં વ્યસ્ત થઈ ગઈ.
નક્કી કર્યા પ્રમાણે, માહીને લઈને શોમ આયુર્વેદિક સેન્ટર પર ગયો. અંજલિ અને શોમ, બન્ને કુશળ ડોક્ટર્સ, સંવાદિતાથી કામ પર ધ્યાન આપી રહ્યા હતા. અજાણતા આંખ મળી જાય કે સ્પર્શ થઈ જાય તે પળ થંભી જતી, એ વ્યાકુળ ઝણઝણાટી વિષે તે બે સિવાય બીજા અજ્ઞાત હતા.
અંજલિએ મીસીસ. પંડ્યાના આગ્રહને નમ્રતાથી નકારી, તેની મિત્ર સારાને ઘેર તે અઠવાડિયું રહેવાનું નક્કી કર્યું હતું. સારાએ શનિવારે સાંજે, ઘેર નાની પાર્ટી ગોઠવી, સ્ટિવન અને શોમને બોલાવ્યા હતા. આરી અને તેની ગર્લફ્રેન્ડ અને બીજા બે ચાર જણા સાથે સારાનું ઘર ગુંજતું હતું. અંજલિ અને શોમના ચહેરા પર ક્યારેક હસતાં હસતાં ઉદાસીની પીંછી ફરી વળતી. ‘હું આના વગર કેમ જીવી શકીશ?’ તો સાથે અંજલિને એ પણ વિચાર સતાવતો કે…’મારા મન પર આ મણનો ભાર છે, તે કેમ જતો નથી? ‘બાબા કહે છે તેમ, સમયને તેનું કામ કરવા દો, અવળા પ્રવાહમાં વલખાં મારવાનું છોડી દો… આ ચઢાણનો ઉતાર મળી રહેશે.’ ગમે તે હો, પણ મિત્રો સાથેની એ સાંજ અણમોલ હતી. શોમ નીકળી રહ્યો હતો તે વખતે અંજલિએ કહ્યું હતું કે, ‘રવિવારે સવારે એબી સેંટરમાં જઈને, આંટી માટે જરૂરી ઓસડિયાં તૈયાર કરી દઈશ, જેથી આવતા મહિનાઓમાં ખલાસ ન થઈ જાય.’
અંજલિ દસેક વાગે સેંટર પર પહોંચી અને ગાર્ડ સાથે થોડી વાત કરી, ઉપર જઈને કામે લાગી ગઈ હતી. ઔષધી માપીને લીધી અને પછી લોખંડનો ખાંડણી દસ્તો લઈ અંજલિ ખાંડવામાં મગ્ન હતી. પાછળથી એકદમ બારણાંના ખોલવા-બંધ થવાના અવાજથી ચમકીને તેણે પાછળ ફરી જોયું. “અરે! રાકેશ? અહીંયા શું કરે છે?” રાકેશનો દાઢી-મૂછથી ભરેલો બિહામણો ચહેરો જોઈ અંજલિના ધ્રૂજતા હાથમાંથી દસ્તો સરી ને તેના પગ પર પડ્યો. “ઓ મા!” કરીને અંજલિ ખુરશી પર બેસી ગઈ.
“અવાજ ધીમો,” રાકેશે કરડાકીથી કહ્યું. તેની ગુસ્સાભરી લાલ આંખોમાં ભય ઝલકતો હતો, ‘આ બે ભાવ!! ક્રોધ અને ભયનું ભયંકર મિશ્રણ’ એમ વિચારતા અંજલિ વધારે ગભરાઈ ગઈ.
“મારી પાછળ કત્રીના પોલીસ લઈને પડી છે, કહે છે મેં તેને મારી હતી.” રાકેશની વાત સાંભળીને અંજલિનો ચહેરો તંગ થયો. “એ તો સાવ જૂઠ્ઠી છે…મારી સાથે જંગલિયત કરતી હતી અને મારી માને ગાળ દીધી, તેથી મેં જોરથી એક થપ્પડ અડાવી દીધી…કત્રીના એ લાગની જ છે. અરે, એ તો લગ્ન કરવા તૈયાર હતી… ત્યાં એને મારી એબી સેન્ટરની બાતમી મળી ગઈ અને પછી તો આભ તૂટી પડ્યું.”
“પણ તું અહીં કેમ આવ્યો છે?”
“મને શંકા હતી જ કે કત્રીના આવું કંઈક સિપાઈનું લફરું કરશે. મારા સગાને ત્યાં આગલા બારણે ધમાલ સાંભળીને હું પાછલા બારણેથી, મારી તૈયાર બેગ લઈને ભાગી નીકળ્યો. આ જગ્યા સલામત લાગી. થોડા કલાકોનો જ સવાલ છે…કારણકે મારી પાસે આજ સાંજની ભારત જવાની ટિકિટ છે. મને ખબર હતી કે તું હ્યુસ્ટનમાં રોકાઈ ગઈ છે. અને જો! …મારા સારા નસીબે તું અહીં મળી ગઈ! બસ તારે મને એરપોર્ટ પહોંચાડવાનો છે. તારે મને મદદ કરવી જોઈએ. મેં કાંઈ એવો મોટો ગુનો નથી કર્યો. આપણા બંનેનું સારું દેખાય તેથી થોડા આંકડા બદલ્યા, એમા તો આ સતવાદીઓએ મને હેરાન કરી નાખ્યો.” રાકેશ અસંબદ્ધ બોલ્યે જતો હતો.
“મારી પાસે ક્યાં કાર છે?” અંજલિ તેના પગને પંપાળતી બોલી.
“તું તારા બોયફ્રેન્ડ, શોમને બોલાવ…”
“હું એવું કંઈ કરવાની નથી, તું થાય તે કરી લે.” અંજલિ ગુસ્સે થઈને બોલી.
રાકેશે ખિસ્સામાં હાથ નાખી નાની શીશી કાઢી, તેના પર ‘ઝેર’ લખેલું હતું. “ભલે. તારે મદદ ન કરવી હોય તો હું આ ઝેર ખાઈ લઈશ. બસ, એટલી મહેરબાની કરજે…ભારત જાય પછી મારા વિધવા મમ્મીને મળીને કહેજે કે, મેં તમારા દિકરાને મરવા દીધો.”
“હું એવા ગપ્પાથી ભોળવાઈશ નહીં. તેં જે ભૂલો કરી છે તેની સજા ભોગવ.”
રાકેશ કશું બોલ્યા વગર, શીશી ખોલી ગોળીઓ હાથમાં કાઢી અને સિંક પાસે પાણી લેવા ગયો. અંજલિને લાગ્યું કે હમણાં તેનો ગોળીઓવાળો હાથ મોં પાસે પહોંચશે…
“બસ કર!! મારે તારું મોત મારા માથા પર નથી થોપવું, સમજ્યો?” અંજલિએ બૂમ પાડી. અને શોમનો નંબર જોડ્યો, “શોમ! અહીં સેન્ટર પર આવી શકશો? જલ્દી…”
“હા, થોડું કામ પતાવીને આવું…”
“ના હમણાં જ, ઇમર્જન્સી છે.” અંજલિ અચકાઈને બોલી.
“શું વાત છે? તું ઠીક છે?” શોમ ચિંતિત થઈ બોલ્યો. રાકેશે નાક પર આંગળી મૂકી ચૂપ રહેવા કહ્યું. અંજલિએ “હા” કહીને ફોન મૂકી દીધો.
જવાની તૈયારી કરતો હતો ત્યાં, શોમનો ફોન ફરી વાગ્યો, “ડોક્ટર! હું કત્રીના બોલું છું. રાકેશ ત્યાં આવ્યો છે?”
“ના” કહીને ફોન પડતો મૂકી શોમ ઝડપથી નીકળીને સેન્ટર પર પહોંચ્યો. વાતોડિયા ગાર્ડ સાથે ‘કેમ છો’ કરીને ઉપર જવા લાગ્યો, પણ દાદર પાસે અટકીને ગાર્ડને પૂછ્યું, “ડોક્ટર અંજલિ સિવાય બીજું કોઈ આવ્યું છે?”
“હા, પંદરેક મિનિટ પહેલા ડોક્ટર રાકેશે તેમની કોઈ વસ્તુ લેવા અંદર જવાની માંગણી કરી હતી, અને મેં જવા દીધા હતા.”
“હું થોડા સમયમાં નીચે ન આવું તો, તમે ઉપર આવજો,” કહેતા શોમ બે બે પગથિયાં ચડતો દોડ્યો. બારણું બંધ હતું. શોમે ટકોરા માર્યા અને અંજલિનો અવાજ આવ્યો, “કોણ?”
“હું શોમ.” બારણાની આંકડી ખુલી અને રાકેશે તેને અંદર આવવા દઈ બારણાં પર ફરી આંકડી મારતો જોઈને બોલ્યો,
“રાકેશ આ શું કરે છે?” કહેતો શોમ અંજલિ પાસે ગયો. તેનો વેદનાથી ખરડાયેલો ચહેરો જોઈ અકળાઈને રાકેશ તરફ ગુસ્સાભરી નજર નાંખી. નીચે નજર પડતાં, “અરે, તારા પગના અંગુઠા પર સોજો આવી ગયો છે અને નખ લીલો પડી ગયો છે, hematoma… આનો તરત ઈલાજ કરવાની જરૂર છે.”
રાકેશ જલ્દીથી બોલ્યો, “ઈલાજ પછી, પહેલાં મને એરપોર્ટ ઉતારી દ્યો, પછી પ્રેમથી અંજલિને સંભાળજો.” શોમ કડકાઈથી ના પાડવા જતો હતો ત્યાં અંજલિ કણસતા બોલી, “મહેરબાની કરીને રાકેશ કહે છે તેમ કરો. મારાથી આ પગનો દુખાવો સહન નથી થતો.”
“ચાલો નીકળીએ. મારી બેગ બહાર ખૂણામાં પડી છે તે લઈ લઉં.” રાકેશ જવા ઉતાવળો થઈ ગયો.
“કત્રીનાનો મારા પર ફોન આવ્યો હતો.” શોમે કહ્યું અને રાકેશના પગ થંભી ગયા.
“હવે હું કહું તે પ્રમાણે કરો.” રાકેશ મક્કમ અવાજે બોલ્યો, “અંજલિ! તું અને શોમ નીચે જાવ. શોમ કાર લેવા જાય અને અંજલિ તું ગાર્ડને કોઈ પણ બહાને પ્રવેશદ્વાર પાસેથી દૂર લઈ જજે. હું કાર આવતા જ પાછલી સીટમાં ઘૂસી જઈશ અને પછી તું આવી જજે. ગાર્ડને ખબર પડશે કે હું બેગ લઈને નીકળ્યો છું, તો કત્રીના તેની પાસેથી સામ, દામ, દંડ, ભેદથી બાતમી મેળવશે. મારી ફ્લાઈટ નીકળે પહેલા મને પકડી પાડે તેવી પાગલ બાઈ છે.”
શોમ તેનો હૂકમ માનવા તૈયાર ન હતો અને બિલકુલ ખસ્યો નહિ. એ જોઈ રાકેશ ઢીલો પડી ગયો અને બે હાથ જોડીને રડવા લાગ્યો. “મેં ખરેખર કત્રીના પર જુલમ નથી કર્યો. મારા પર દયા કરીને એરપોર્ટ પહોંચાડો. ગોઆમાં વૈદ્ય ભાણજી મને સજા આપશે.” અંજલિએ શોમ સામે જોયું અને ઉઠવા માટે ટેકો લેવા હાથ લંબાવ્યો.
નીચે જઈને અંજલિએ પોતાના દુખતાં અંગુઠા માટે ગાર્ડને રૂમાલ ભીનો કરવા મોકલ્યો. શોમની કાર આવતા જ રાકેશ પાછલી સીટમાં જઈને સંતાઈ ગયો, પછી અંજલિ આવી અને તેઓ એરપોર્ટ જવા નીકળી ગયાં. એરપોર્ટ પર કાર અટકી કે તરત આજુબાજુ જોતો રાકેશ ઝડપથી જતો રહ્યો. “એને લાંબી વિદાય નથી ગમતી લાગતી.” કહીને શોમ હસ્યો. પણ પગના અંગુઠામાં થતાં લબકારાને લીધે અંજલિની આંખમાં આંસુ આવી ગયાં.
વધુ બોલ્યા વગર શોમે કાર હોસ્પિટલ તરફ લીધી. અંજલિ આંખો મીચી બેસી રહી. હોસ્પિટલ પહોંચીને શોમે અંદર જઈ નર્સને વ્હીલચેર લાવવાનું કહ્યું. કારનું બારણું ખોલ્યું, પણ અંજલિની નિંદર ન ખૂલી. શોમે કોમળતાથી તેને ઊંચકી અને વ્હીલચેરમાં બેસાડી, “ઓહ, માફ કરજો. મારી આંખ મળી ગઈ હતી.” સફાળી જાગીને તે જરા ગૂંચવાઈ ગઈ.
શોમ જે રીતે તેની કાળજી લઈ રહ્યો હતો તેવી ઘણા સમયથી કોઈએ નહોતી લીધી. ડોક્ટર તરીકે પોતે જ હંમેશા ખડે પગે રહેતી. અંજલિ આરામથી બેસીને આળપંપાળ મ્હાણી રહી. પાટાપિંડી પત્યા પછી શોમે પૂછ્યું, “જોષી-નિવાસ જઈશું? ગરમ લંચ મળવાની શક્યતા છે.” અને તેઓ ઘેર આવી પહોંચ્યા. કારમાંથી અંજલિને પગથીયા સુધી શોમ ચલાવીને લઈ આવ્યો… જ્યાં તે અચકાઈને ઊભી રહી ગઈ. પાંચ પગથિયાં ચડીને શોમે ડોરબેલ વગાડ્યો. માહી અને મોટીમાસી બારણું ખોલી આશ્ચર્યથી જોતાં રહ્યાં. શોમ પાછો ફરી, અંજલિને બાંહોમાં ઊંચકી, સહજ રીતે ઊંબરો પસાર કરી અંદર લઈ આવ્યો. મોટીમાસી તો આ કામને એકદમ ગંભીરતાથી અવલોકતા રહ્યાં. ખાનગીમાં માહી સાથે તેની આલોચના પણ થઈ. પણ માહી કહે, “ના, ના. એવું કશું નક્કી નથી.”
અંજલિએ બે દિવસ સારાને ઘરે આરામ કર્યો. એકાંતમાં શાંત અને નિસ્વાર્થ ભાવથી પોતાના મનને ચકાસ્યું. ‘હું શા માટે શોમને ચાહું છુ? પ્રેમ છે કે કોઈ લાલચ છે?’ અને દર વખતે અંતર પોકારે કે મારે શોમનો સાથ જોઈએ છે. ‘પરંતુ શોમની ખુશી મારાથી દૂર રહેવામાં હોય તો એ પણ કબૂલ છે. તે હંમેશા ખુશ રહે… મમ્મી અને બાબા સાથે વાત કરીશ ત્યારે સ્પષ્ટતા થશે.’
જવાના આગલા દિવસે બપોરે અંજલિ આવજો કહેવા જોષી-નિવાસ આવી હતી. રમેશના ઘેર આવવાની રાહ જોતી હતી એ દરમ્યાન… ટેબલ પર કાગળ પેન લઈને બેઠી અને કશું લખી રહી હતી. સમય પછી, “આંટી, એક પુસ્તક શોમના રૂમમાં મૂકું છું.” કહીને અંજલિ અંદર ગઈ. રમેશ આવી ગયા અને દીકરીને વિદાય કરતા હોય તેટલા સ્નેહથી ‘આવજો’ કહ્યું. ‘હવે નહીં મળીએ? અને મળશું તો કયા સંબંધના નેજા નીચે?’ એ પ્રશ્ન માહીને બે ધારી તલવારની જેમ સોરતો હતો.
આ વખતે શોમે અંજલિની ‘ના’ સાંભળી જ નહીં, અને એરપોર્ટ લઈ જવા માટે કાર લઈને સારાના ઘેર હાજર થઈ ગયો.
રમણીય તવ સાથ હું આજે લઉં ચોરી,
આંખમાં સમાવી કરું છાની બળજોરી.
ભલે જાયે આઘેરી, લાગે તું ઓરી,
રોકવાને કાજ દિલ ખેંચે અકળ દોરી.
—— કમશઃ
સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com