વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • શ્રાવણનો આ સરતો મહિનો

    દેવિકા રાહુલ ધ્રુવ

    શ્રાવણનો આ સરતો મહિનો, ક્યાં છે સૌનો કાનો,
    ગોતીગોતી થાકી આંખો, ના દેખાય યમૂનાનો  કાંઠો.

    વસુદેવ ને દેવકી લઈને આવે જેલની યાદો,
    નંદ-જશોદા બાંધી બેઠાં ક્યારનો મનમાં માળો,
    લાગણીઓ તો લળીલળીને રમવા  માંડી રાસો,
    ઉજાગરાએ માંડ્યો હવે લો, રાતનો અહીં વાસો,
    શોધીશોધી થાકી આંખો, ના દેખાય મન-મંદિરનો માધો. 

    ખોટી મટકી, માખણ લઈને, ગોરસ વહેંચુ ઘાટો,
    નીકળ, છબીની બહાર હવે ને, તોડ પીડાની વાડો,
    ખૂબ મનાવું પ્રેમથી તુજને, રહે નહિ હવે આઘો,
    છાને પગલે આવીઆવી, સ્પર્શી લે સ્નેહથી વાંસો,
    ખોળીખોળી થાકી આંખો, ના દેખાય વ્રજનો વ્હાલો.

     

    શ્રાવણનો આ સરતો દા’ડો, ક્યાં છે સૌનો કાનો,
    શોધીશોધી થાકી આંખો, ના મળતો  છેલછોગાળો.


    Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

  • અપૂર્ણ સંસાર

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    “પૂરણપોળી ભાવી હોય તો એક વધુ…..ખવાઈ જશે .”

    કવિતાએ પોતાના પતિ વિવેકના બૉસ શુભમ સક્સેનાની થાળીમાં એક વધુ પૂરણપોળી પીરસી. ઘીની સોડમથી શુભમનું મન તરબતર થઈ ગયું.

    “આટલું તો એ ક્યારેય ખાતો નથી અને આજે ….પેટ ભરાઈ ગયું, પણ મન નથી ભરાયું. આવું સ્વાદિષ્ટ ખાવાનું બનાવતા ક્યાંથી શીખ્યાં?” શુભમના અવાજમાં પ્રસંશા અને પ્રસન્ન્તા હતી..

    પોતાની પ્રસંશા સાંભળીને કવિતા શરમાઈ.

    “સર, કવિતા એકદમ ઘરેલુ છે. આવી ઘરેલુ સ્રીઓ વળી ક્યાં કૂકરી ક્લાસમાં જતી હોય, એ તો ઘરમેળે જ શીખી છે.” કવિતાના બદલે વિવેકે ઉત્તર વાળ્યો.

    “એક વાત કહું વિવેક? ગૃહસ્થી સંભાળવી સહેલી નથી. આજકાલ પત્ની ‘હોમમેકર’ હોય એ નિરાંતની જ નહીં ગૌરવની વાત છે.” શુભમે વિવેકની વાતને રદિયો આપી દીધો.

    “અરે સર, ગૃહસ્થી સંભાળવામાં ક્યાં કોઈ ક્વૉલિફિકેશનની જરૂર છે?” વિવેકે પાંગળો બચાવ કર્યો.

    “સમર્પણ, ત્યાગ જેવા ક્વૉલિફિકેશન જોઈએ જે આજકાલ બહુ ઓછી પત્નીમાં હોય છે. પત્ની હોવું અને પરફેક્ટ ગૃહિણી હોવું બંનેમાં ફરક છે. મારા મતે ગૃહસ્થજીવન પણ તપોભૂમી જ છે.

    “એકવાર હું અને મેઘા હોટલમાં જમવા ગયાં હતાં. ફાઇવસ્ટાર હોટલના વાતાનુકૂલિત ડાઇનિંગરૂમમાં જમીન પર રેશમી ગાદી-તકિયા પાથરેલાં હતાં. સરસ મઝાના બાજોઠ પર મૂકેલી  થાળીમાં પરંપરાગત ખાવાનું પીરસાયું. છરી-કાંટા કે ચમચીના બદલે હાથથી ખાવાનું હતું. આપણી વર્ષો પહેલાંની પરંપરા પર આપણને શરમ આવતી એ ‘સ્ટાઇલ-આઇકન’ બની છે. જમીન પરથી ઊઠીને ફરી હવે મોંઘા દામ આપીને હોટલમાં નીચે જમીન પર બેસીને જમવા જઈએ છીએ. જોકે, હાથથી જમવામાં ગજબ સંતોષ થયો હતો.”

    “સર, બધાંને ક્યાં રસોઈ આવડે ? હવે તો ઘરમાં રહીનેય ખાવાનું બનાવવા બાઈ રાખે છે.”

    “હશે, પણ કવિતાની રસોઈમાં જે સ્વાદ હતો એ કોઈ બાઈના હાથનો નહોતો. મને આજે અમારાં સૌ માટે ભાવતું ભોજન બનાવતી મારી મા યાદ આવી ગઈ. આખો દિવસ કામ કરતી છતાં એના ચહેરા પર તાજગી જોવા મળતી. સાંજ પડે થાકીને આવેલા પિતાજી એનો હસતો ચહેરો જોતા અને એમનો થાક ઉતરી જતો. આજે તમનેય એ જ પ્રેમથી જમાડતી કવિતાને જોઈને મને ઈર્ષ્યા આવે છે. અમારા ઘરમાં કૂક એટલી વિવિધ વાનગીઓ બનાવે છે કે જોઈને શું ખાવું, શું ના ખાવું એ વિચારવું પડે. ત્યારે આવી રીતે આગ્રહ કરીને કોઈ જમાડે તો  એ ભોજનનો સ્વાદ અને આનંદ બેવડાઈ જાય.”

    જમીને શુભમ જવા નીકળ્યો ત્યારે એને વિદાય આપતા કવિતા બોલી, “ફરી આવો ત્યારે મેઘાબહેનને જરૂર લઈને આવજો.”

    ******

    શુભમના જતાની સાથે જ બૉસની હાજરીમાં વિવેક સાચવીને બેઠેલા પતિએ સંયમ ગુમાવ્યો.

    રસોઈ સરસ બની હતી, કવિતાએ ભારે સૌજન્યપૂર્વક બૉસને સાચવ્યા એ વિશે પ્રસંશાના બે શબ્દો કહેવાના બદલે બૉસ આવ્યા ત્યારે વ્યવસ્થિત તૈયાર ન થવાથી માંડીને ઘરની મોંઘી ક્રોકરીના બદલે રોજિંદા વપરાશની ક્રોકરીમાં બૉસને જમવાનું પીરસવા સુધીનું લાંબુ ભાષણ કવિતાને માથે ઠોકી દીધું. લાંબા ભાષણના અંતે કવિતાને દુનિયાદારીની સમજ નથી, એવું સર્ટિફિકેટ પણ આપી દીધું.

    વાત જાણે એમ હતી, કે વિવેકે બૉસની સાથે પાર્ટીમાં મેઘાને જોઈ ત્યારથી એ મનોમન મેઘા અને કવિતા વચ્ચે સરખામણી કરતો થઈ ગયો હતો.

    વિવેક જ્યારે લગ્નની ઉંમરે પહોંચ્યો ત્યારે એના માટે સુયોગ્ય કન્યાની શોધ શરૂ થઈ ત્યારે એણે ઘણી યુવતીઓને નાપસંદ કરી હતી. એમાંની આ એક મેઘા હતી.

    કારણ ? કારણ કે મેઘા સેલ્સગર્લ હતી. સામાન્ય ઘરની મેઘાનાં સપનાં ઘણાં બુલંદ હતાં. મેઘાના આત્મવિશ્વાસથી એ પ્રભાવિત થયો હતો. પણ, એક સેલ્સગર્લ કરી કરીને કેટલી પ્રગતિ કરે?

    વળી ઘરમાંય મેઘા માટે સૌના મંતવ્ય અલગ હતાં. મેઘા જ નહીં એ વખતે જોયેલી અનેક યુવતીઓ અંગે મા, બહેનો સાથે ઘરમાં ચર્ચા થતી. વિવેક પોતે કોઈ નિર્ણય પર આવી શકતો નહોતો. કોઈનો દેખાવ તો કોઈની વાત કરવાની રીત, કોઈનું કદ તો કોઈનાં  રંગરૂપ સામે વિવેકને વાંધો પડતો પરિણામે વધતી ઉંમર, માથેથી ઘટતા વાળની જેમ સર્વગુણ સંપન્ન કન્યાઓની યાદી ઘટતી ચાલી.

    પાંચ-પાંચ વર્ષ સુધી મેળ પડ્યો નહીં. ભૂતકાળમાં નાપસંદ કરેલી યુવતીઓ પણ પરણીને ઠરીઠામ થઈ ગઈ. અંતે કવિતાને પસંદ કરી. કવિતા સંસ્કારી હતી, ગૃહિણી તરીકે કુશળ હતી પણ દેખાવમાં અન્ય યુવતીઓ કરતાં સામાન્ય હતી.

    કવિતા એની પસંદ નહીં, મનનું સમાધાન હતી. આ સમાધાન કરતી વખતેય આગળ જોયેલી અનેક યુવતીઓ આંખ સામે આવી જતી. સતત એ સૌના દેખાવની સરખામણી કવિતા સાથે થઈ જતી.

    એમાંય જ્યારે એ પાર્ટીમાં શુભમ સાથે મેઘાને મળવાનું થયું ત્યારથી એને મેઘાને નાપસંદ કરવા માટે અનહદ અફસોસ થયો. મેઘામાં આત્મવિશ્વાસ તો હતો જ અને હવે ધનાઢ્ય શુભમ સાથે પરણીને એ દેખાવ, વાણી, વર્તનથી જરા વધુ જ સફાઈદાર અને સ્ટાઇલિશ લાગતી હતી.

    બસ, ત્યારથી કવિતા તરફ વિવેકની ચીઢ વધતી ચાલી, પણ એને ક્યાં ખબર છે કે શુભમ આજે  કવિતાને નાપસંદ કરવા માટે પસ્તાઈ રહ્યો છે !

    શુભમ અને કવિતાની સીધી મુલાકાત થઈ નહોતી. દૂર દેખાતી યુવતી તરફ ઈશારો કરીને માએ કહ્યું હતું,

    “ભલે અન્ય યુવતીની સરખામણીમાં એ યુવતી સાદીસીધી દેખાય છે, પણ વ્યવહારકુશળ છે, રસોઈમાં પારંગત છે. જો તારી નજર ઠરે તો મુલાકાત ગોઠવીએ.”

    પણ, દૂરથી…ઘણે દૂરથી એ યુવતીને જોઈને એને મળવાનું મન થયું નહીં. બે વર્ષ પછી મેઘા એના જીવનમાં આવી.

    આજે દૂરથી જોઈને નાપસંદ કરેલી કવિતાને નજીકથી જોઈ, જાણી, ઓળખી ત્યારે એને પોતાની ભૂલ પર પારાવાર પસ્તાવો થયો અને વિવેકના નસીબ પર ઈર્ષા થઈ.

    ક્યાં ઊડતાં પંખી જેવી, વર અને ઘર પ્રત્યે બેફિકર મેઘા અને ક્યાં વર અને ઘરની પળેપળે ફિકર કરતી કવિતા !?

    ક્યાં મહારાજ પાસે રસોઈ બનાવડાવતી, જમવા ખાતર સાથે જમતી મેઘા અને ક્યાં મહેમાનને જ નહીં પતિને પણ આગ્રહપૂર્વક જમાડતી કવિતા !?

    સાંજ પડે ઘેર આવે ત્યારે મેઘા એની રાહ જોતી હોય, વિચારોની આપલે કરતાં કરતાં સાથે બેસીને જમતાં હોય એવું કેટલીય વાર ઝંખ્યું હતું !?

    કાશ, એ વખતે આધુનિક, મહત્વકાંક્ષી યુવતીની અપેક્ષા ન રાખી હોત અને સીધીસાદી કવિતાને પસંદ કરી હોત તો અત્યારે સુખ-શાંતિભર્યું જીવન જીવતો હોત.

    ઘેર પહોંચ્યો ત્યારે એની હાજરીની નોંધ સુદ્ધાં લીધા વગર મેઘા લેપટૉપ પર કામ કરતી રહી.

    રેડિયો પર સંભળાતા ભુપેન્દ્ર સિંઘના ગીત સાથેસાથે એ ગણગણતી હતી.

    कभी किसिको मुकम्मल जहा नही मिलता
    कही जमी तो कही आस्मा नही मिलता …

    ‘વાત તો સાચી જ ને?’ ગીતના શબ્દો સાંભળીને શુભમ જરા હસ્યો.


    મીનુ ત્રિપાઠી લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઝાટકો

    સ્નેહા પટેલ

     

    શોભમનું બારમા ધોરણનું પહેલી ટેસ્ટનું પરિણામ આજે આવી ગયું હતું અને નવાઈજનક રીતે એમાં શોભમ માત્ર ને માત્ર બાવન ટકા ગુણ જ મેળવી શક્યો હતો. રીઝલ્ટકાર્ડ હાથમાં હતું અને શોભમને પોતાને પોતાની આંખો પર વિશ્વાસ નહતો થતો. એ ભણવામાં હોશિયાર હતો, પૂરેપૂરો ‘ડેડીકેટેડ’ ‘ફોકસ્ડ’ અને મહેનતુ છોકરો હતો. સ્માર્ટનેસમાં કોઈ કમી નહતી. અત્યાર સુધી સ્કૂલમાં દરેક કક્ષામાં એક્ધારો નંબર વન પકડી રાખ્યો હતો. ૯૦ ટકાની નીચે ક્યારેય ગયો નહતો – તો આજે અચાનક આ શું થઈ ગયું ?

    ઘરે જઈને સ્કૂલબેગ સોફામાં ફેંકી અને બીજા સોફામાં પોતાની જાતને ફેંકી. ગળાની ટાઈની ગાંઠ ઢીલી કરતો હતો ને મમ્મીનો અવાજ કાનમાં પડ્યો,

    ‘શું થયું બેટા ? કેમ આટલો થાકેલો ને નિરાશ દેખાય છે ? બહુ ભૂખ લાગી છે કે ? ચાલ થાળી પીરસી દઉં.’

    ‘ના મમ્મી, રિસેસમાં સેન્ડવીચ અને કોફી પીધેલા તો ભૂખ તો એવી કંઈ ખાસ નથી પણ આજે મારું રીઝ્લ્ટ હતું અને એ બહુ જ ઓછું આવ્યું છે.’

    હકીકતથી સહેજ પણ ડર્યા વિના પૂરેપૂરી પ્રામાણિકતાથી શોભમે મમ્મીને કહ્યું.

    શોભમની મમ્મી ઋત્વી પણ બે મિનિટ થંભી ગઈ અને વળતી પળે પોતાની જાત પર કાબૂ મેળવીને શોભમના વાળમાં હાથ ફેરવતી બોલી,

    ‘અરે પણ આ તો પહેલી ટેસ્ટ છે, થાય આવું બધું. ઘણાં વિદ્યાર્થીઓ સાથે આવું થાય જ છે. એમાં આમ નાસીપાસ નહીં થવાનું. શું આવ્યું પરિણામ, બોલ.’

    ‘બાવન ટકા.’

    ‘ઓહ…’ વાત બહુ નાજુક હતી એની ગંભીરતા ઋત્વી પૂરેપૂરી સમજતી હતી એટલે આગળ બોલતાં પહેલાં પોતાની જાતને પૂરેપૂરી સંભાળી લીધી.

    ‘આવું થાય તો નહીં. પણ થયું છે એ હકીકત છે દીકરા. દરેક વાતની પાછળ કોઈક કારણ તો હોય જ ને ! તને શું લાગે છે ? તારા પેપર્સ કેવા ગયેલાં.?’

    ‘મમ્મી સાચું કહું ને તો મહેનત તો દર વખત જેટલી જ હતી પણ ખબર નહીં પેપર્સ જોઈએ એવા સંતોષકારક નહોતા ગયાં. રાતના બે-ત્રણ વાગ્યાં સુધી બેસીને બધો કોર્સ સંપૂર્ણ કંપ્લીટ કરેલો તો પણ પેપર્સ લખતી વખતે જોઈએ એટલું યાદ નહતું આવતું. મગજ થાકી જતું હોય એવું ફીલ થતું હતું.’

    ‘હમ્મ..તું તો દર વર્ષે રાતના વાંચીને ભણે છે તો આ વખતે જ કેમ આવું થયું? મને કંઈ સમજાતું નથી. કદાચ તારા ઉજાગરાની દિશા ખોટી તો નહતી ને ?’

    અને શોભમના મગજમાં લાઈટ થઈ. રાતના લેપટોપ પર પાવરપોઈટ્સ અને ઇબુક્સ વાંચતા વાંચતા વચ્ચે આવતી જાહેરખબરોથી લલચાઈને એ નેટ પર અમુક એવી સાઈટ્સ પર જઈ ચડતો હતો જે એનું ફોકસ ભણવામાંથી હટાવી દેતી હતી અને એના કલાકોના કલાકો એમાં બગડતાં હતાં. ઉંમર નાજુક હતી એટલે આવી લાલચ થવી સ્વાભાવિક હતી. ઋત્વી અને એ મા દીકરો જ નહીં પણ પાકા દોસ્તારો હતાં. એણે પુત્ર તરીકેની મર્યાદા જાળવીને પૂરેપૂરી હકીકત એની મમ્મીને જણાવી દીધી. એને મમ્મીની સમજ અને લાગણી પર પૂર્ણ વિશ્વાસ હતો એટલે એણે એ પણ કબૂલ્યું કે,

    ‘મમ્મા, આ બધી સાઈટ્સ પર સમય વેડફવાની હવે જાણે કે ટેવ પડી ગઈ હોય એમ લાગે છે. હું હવે એ બધું સંપૂર્ણપણે છોડી દઈશ. ચિંતા ના કરો.’

    અને ઋત્વીએ તરત જ શોભમને અટકાવ્યો,

    ‘દીકરા, મુખ્ય વાત એ છે કે તને તારી કમજોરીની, ટેવની ખબર પડી. હવે કોઈ પણ ટેવ અચાનક છોડી દઈએ તો એનું આકર્ષણ વધારે ઉથલો મારે અને એ તમને તમારું રૂટિન કામ પણ સખેથી ના કરવા દે. કોઈ પણ ટેવ ત્યારે જ પડે જ્યારે એનાથી તમને મજા આવતી હોય. અમુક ટેવ બિનહાનિકારક હોય છે એટલે એની ચિંતા નહી પણ અમુક ટેવ તમારી લાઇફ, કારકીર્દીને જોખમી હોય છે એનાથી સમજણપૂર્વક પીછો છોડાવવાનો હોય. તારા કેસમાં તારી ટેવની ખબર પડી ગઈ એ સૌથી મહત્વનું કામ થઈ ગયું. હવે તું એના સ્ટાર્ટીંગ પોઈંટ શોધ. કયા સમય અને કઈ હાલતમાં એની જરૂરત ઉદભવે છે એનું નિરીક્ષણ કર. એ ટેવની જરુરત જ્યારે ઊભી થાય ત્યારે જ તું એ જગ્યાએથી, સ્થળેથી અલગ થઈ જા અને મગજને બીજે ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કર.પણ આ બહુ જ સ્વાભાવિક રીતે થવું જોઇએ. જોરજબરદસ્તી તને એ ટેવોની વધુ નજીક લઈ જશે. એવા સમયે તારે તારા મગજમાં ખેંચી રાખેલી તારા ઉજ્જ્વળ ભવિષ્યની તસ્વીરોને આંખ સમક્ષ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તારા અતિકિંમતી કલાકો બે ઘડીના આનંદની ટેવ પાછળ પાણીની જેમ વેડફાઈ રહ્યાં છે એ મગજને સમજાવું જોઇએ. તારા મગજને આ રીતે રીલેક્સ થવાની આદ્ત પડી ગઈ હશે એટલે એવા સમયે તારે તારા રીલેક્સેશન માટે બીજો રસ્તો શોધવાનો રહેશે. જેમ કે એ સમયે કોઈ મિત્રને ફોન કર, કાં તો થોડી વાર ગમતું મ્યુઝિક સાંભળ, ગ્રીન ટી બનાવી લે કાં તો બાઇક લઈને ઘરની બહાર ઠંડી હવામાં એક આંટો મારી આવ, ડીપ બ્રીધિંગ કર, એકસરસાઈઝ કર, ના જ બને તો બીજો એક રસ્તો કે બપોરે સૂવાની આદત છોડીને રાતના બદલે બપોરના સમયે ભણવાનું રાખ. બપોરે ઘરમાં ચહલપહલ પણ હોય છે એવા સમયે તારું મગજ આવી કોઈ જ વાત માટે વિચારી જ નહીં શકે. પણ સો વાતની એક વાત – કોઈ પણ ટેવ એક ઝાટકે અને જોરજબરદસ્તીથી છોડવી એ મૂર્ખામીભર્યું અને મહાજોખમી કાર્ય છે. એ ટેવને છોડવા માટેનો એક જ સીધો રસ્તો કે એમાંથી મળતી મજા તમને તમારી હેલ્થને તંદુરસ્ત રાખી શકે એવી કોઈ સારી ટેવમાંથી મેળવવી.બાકી દરેક માણસની નબળાઈઓ હોય જ છે બેટા એટલે તારે કોઈ જ શરમાવાનું કારણ નથી. મને તો તારી ટ્રાન્સપરન્સી પર ખૂબ જ માન છે. એથી પણ વધુ ગૌરવ મારી જાત પર થાય છે કે હું તારી સાથે એવી રીતે વર્તી શકી છું કે તું મારામાં. મારી સમજણમાં આટલો વિશ્વાસ મૂકીને આવી નાજુક વાત મને કહીને શેર કરી શકે છે. આઈ લવ યુ માય સન.’
    અને ઋત્વીએ શોભમના કપાળ પર એક ચુંબન ચોડી દીધું.

    મમ્મી સાથેની વાતચીત પછી શોભમનું મન ખૂબ જ હલકું થઈ ગયું હતું. હલકા મગજમાં એને એની મનગમતી રમત ફૂટબોલ અને ક્રિકેટ દેખાઈ. એણે બપોરે બપોરે ભણવાનું ચાલુ કરીને રાતના મિત્રો સાથે આ બધી ગેમ્સ રમવાનું ચાલુ કરી દીધું- જરૂરિયાતનો પોઈંટ ડાયવર્ટ થતો ગયો અને મિત્રો સાથે રમવામાં તન -મનને પૂરતો સંતોષ મળવા લાગ્યો. જીવનમાં ‘મજા’નામનું પરિબળ ઓર મજબૂત બનતું ચાલ્યું. એની જરૂરિયાતનો સ્ટાટિંગ પોંઇન્ટ જ ફિનિશ થઈ ગયો, અને ધીમે ધીમે એ પોતાની આદત પર સંપૂર્ણપણે કાબૂ મેળવી શક્યો. આ બધાથી એનામાં તાજગી વધતી ગઈ, પરિણામે ઓછી મહેનતે વધુ ફોકસ કરી શકવા લાગ્યો અને ધીમે ધીમે મહેનત કરતાં કરતાં બોર્ડની પરીક્ષામાં એ પોતાના મનવાંછિત પરિણામને મેળવીને જ રહ્યો.

    મમ્મી પરના પ્રેમનો રંગ વધુ ગાઢો બની ગયો.

    અનબીટેબલઃ જીવનમાં કોઈ ‘મજા’ સ્વાસ્થ્ય કે સમાજને હાનિકારક બની જતી હોય તો તરત જ ચેતી જઈને એના સ્ટાર્ટિંગ પોઈંટને સમજી, ડાયવર્ટ કરીને બીજો તંદુરસ્ત રસ્તો શોધવાનો પરિશ્રમ કરવો જોઈએ.

  • મહેન્દ્ર શાહનાં ઓગસ્ટ ૨૦૨૬ નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s monthly creations of month of August for Web Gurjari

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • સદા અમર શ્રી અવિનાશ વ્યાસ – કૃષ્ણ પ્રાગટ્યની સૌને શુભેચ્છા

    આલેખનઃ રાજુલ કૌશિક

    શ્રાવણના આ દિવસોમાં આમ તો ચારેકોર ઉત્સવ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાવા માંડે. ચોથી સપ્ટેમ્બરે એટલે કે  આવતી કાલના જન્માષ્ટમીના તહેવારની ઉજવણીનો માહોલ બંધાવા માંડ્યો હશે. શક્ય હોય ત્યાં મંદિરોમાં અથવા સૌએ પોત-પોતાના ઘરમાં જ કૃષ્ણને આવકારવા ગોકુળિયું સજાવવા માંડ્યું હશે. કૃષ્ણ તો સૌનો પ્રિય, સૌનો લાડકો દેવ. એને તો દેવ કહેવો, મિત્ર કહેવો કે ગુરુ કહેવો એ તો સૌ સૌની ભાવના પર આધારિત છે કારણકે કૃષ્ણ તો હર સ્વરૂપે હર કોઈને પોતાનો જ લાગે.

    રાધા, મીરાં, ગોપી એ સૌએ તો એને અનન્ય ભાવે નિહાળ્યો છે, પણ આપણા જેવા સૌને પણ એનું અજબ આકર્ષણ તો રહ્યું જ છે એવા કૃષ્ણ તો કવિ, લેખકો અને ગીતકારોના પણ અતિ પ્રિય. આજ સુધીમાં સદીઓથી એના માટે ઘણું લખાયું છે અને લખાતું રહેવાનું છે ત્યારે અવિનાશ વ્યાસે એના માટે શું લખ્યું હશે એ જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે.

    અવિનાશ વ્યાસની રચનાઓની વાત આવે ત્યારે એમની સાથે આપોઆપ શબ્દ, સૂર અને સંગીતનો તાલમેલ જોડાઈ જાય.

    મોટાભાગે સંગીત શબ્દ ગાયન કે વાદનના અર્થમાં જ લેવાય છે પરંતુ કહેવાય છે કે ખરેખર તો સંગીત એટલે ગાયન, વાદન અને નૃત્યનો સમન્વય. વિશ્વની મોટાભાગની કળા એવી છે જેમાં એકવાર સર્જન થઈ જાય પછી કળાકાર અને કૃતિ બંને ભિન્ન અસ્તિત્વ બની રહે. ચિત્ર, શિલ્પ કે ગીતને પણ આ કક્ષાએ ગણી શકાય. ચિત્રથી ચિત્રકાર, શિલ્પથી શિલ્પકાર, ગીતથી ગીતકાર કે કથા લખાયા પછી કથાકાર બંને ભિન્ન અસ્તિત્વ અર્થાત સર્જન જ્યાં પહોંચે ત્યાં સુધી એનો સર્જક નથી પહોંચતો જ્યારે નૃત્ય એક એવી કળા છે જ્યાં કલા છે ત્યાં જ કલાકાર છે. એ બંનેનું અસ્તિત્વ અભિન્ન અને આવા અભિન્ન અસ્તિત્વ એવા નૃત્યની વાત આવે ત્યારે અચૂક કૃષ્ણ અને એની રાસલીલા યાદ આવે.

    ‘રાસ દુલારી’-

    અવિનાશ વ્યાસની આ એવી અનોખી ભેટ છે જે શબ્દ, સૂર અને સંગીતના સમન્વયથી સંકળાયેલી છે. કૃષ્ણનું નટખટ બાળપણ, ગોપીઓ સાથેની અટખેલીઓ, રાધા સાથેના અલૌકિક પ્રેમની સરવાણીને એટલી તો સરસ રીતે સાંકળી છે કે એ એમની અમર કૃતિ બની રહી છે.

     

    રાસ દુલારી શરૂ થાય છે જ કાનુડાના મસ્તીભર્યા અસ્તિત્વના એંધાણથી…

    વૃંદાવનનો શામળો, ઓઢીને કાળો કામળો
    ધૂમ મચાવે વૃંદાવનમાં ….”

    આટલા શબ્દો જ એ મસ્તીખોર નંદકિશોરની હાજરીનો અનુભવ કરાવવા પર્યાપ્ત છે. માત્ર આ થોડા જ શબ્દોમાં અવિનાશ વ્યાસે કૃષ્ણની બાળપણની જે છબી સૌના મનમાં છે એ નજર તાદૃશ્ય કરી દીધી છે.

    આ ગીત લખાયું એની પણ એક મઝાની વાત છે. અમદાવાદની ‘અર્ચન નૃત્ય અકાદમી’ અવિનાશ વ્યાસ કૃત ‘રાસ-દુલારી’ નૃત્યનાટિકા ભજવવાની હતી. પ્રેક્ટિસ ચાલતી હતી ત્યારે સ્ટેજ પર કૃષ્ણનો પ્રવેશ કેવી રીતે કરાવવો એની મીઠી મૂંઝવણ ચાલતી હતી અને પળવારમાં અવિનાશ વ્યાસે આ ગીતની રચના ફોન પર લખાવી.

    આટલી ત્વરાથી ગીતની રચના કરી શકે એ ગીતકારની કેવી અદ્ભુત અંતઃસ્ફૂર્ણા !

    મોરનું પીંછુ માથે, ગોવાળિયાની ટોળી સાથે, 
    આવે કાળુડો કાન, માંગે ગોપીઓથી દાન,
    મારે ગોપીને કાંકરિયા માથે..’

    અને ગોપીઓનો ભાવ અવિનાશ વ્યાસના મનમાં જાગ્યો હોય એમ એ લખે છે,

    સારા જગને દેનાર, મુજથી રે શું લેનાર, 
    તારી જુગતી ન જાયે કળી, હું તો મહી વેચવા નીકળી..”

    વાત તો સાચી છે, જે સમસ્ત જગતને દેનાર છે એને તો વળી કોઈની પાસેથી શું માંગવાનું હોય? તેમ છતાં એ કોઈનીય પાસે કંઈ પણ માંગે ત્યારે રાધા અકળાય. એની અકળામણમાં કૃષ્ણ માત્ર એનો જ છે એવી સ્ત્રીસહજ આધિપત્યની ભાવનાનો રણકો સંભળાય.

    અવિનાશ વ્યાસ ક્યારેક કૃષ્ણ, ક્યારેક રાધા તો ક્યારેક ગોપીના ભાવ અત્યંત સહજતાથી નિરૂપે છે. અહીં એમના શબ્દોમાં રાધાના ભાવ વ્યક્ત થાય છે …

    આવું ન થાય શ્યામ મોરા, તું તો મારા મનનો ચોર
    તુંથી માખણ ન ચોરાય,
    ગોપ ગોપીની ટોળી જોડે, મારે કાંકરિયાને મટકી ફોડે,
    મુજથી ના સુણાય….’

    કૃષ્ણ પાસે તો સૌની ફરિયાદના ઉત્તર. એ રાધાનું મન પારખતા કહે છે,

    કોઈ મન ચોરે, કોઈ તન ચોરે, કોઈ ધન ચોરે આ જગમાં
    હું તો કેવળ માખણ ચોરું ને વસુ તારી રગરગમાં….’

    કૃષ્ણ સૌને એક અલગ ઓળખ સાથે મળ્યા છે. સૌને એને પોતાની રીતે પામ્યાનો આનંદ છે.

    પછી તો કાનાની આ સતામણીની ફરિયાદ પહોંચે જશોદાના દરબારમાં…

    સુણજો જશોદા મૈયા, મારે કાંકરિયા, ફોડે ગાગરિયા,
    મારે ઘેર વર કે સાસુ નણંદિયા, આવા કોઈના હશો નહીં છૈયા…”

    આગળ કહ્યું એમ સંગીત એટલે ગાયન, વાદન અને નૃત્યનો સમન્વય. સ્ટેજ પર ભજવાતી ‘રાસ દુલારી’ નૃત્યનાટિકા જેણે જોઈ છે એ સૌએ આ ત્રણેનો અદ્ભુત સમન્વય અનુભવ્યો છે.

    કૃષ્ણની માખણ ચોરીને ખાવાની વાત કેટલીય વાર આપણે સાંભળી છે ત્યારે અવિનાશ વ્યાસ એ પ્રસંગને કેવી રીતે વર્ણવ્યો છે એ જોઈએ.

    આમ ભાળી તેમ ભાળી, હળવે હળવે પગલે ચાલી,
    કાનુડો માખણ ચોરે હે..
    ખાતા ખાતા મ્હોં બગાડી,ઊંચા વાસણ નીચે પછાડી,
    કાનુડો માખણ ચોરે હે…’

    સ્ટેજ પર આ પ્રસ્તુત થાય ત્યારે તો કોની પ્રસંશા કરવી? ગાયનની, વાદનની કે નૃત્યની?

    વર્તમાન ટેક્નોલૉજીના સમયમાં વર્ષો નહીં સદીઓ પહેલાંની વાતો કે વ્યક્તિની માહિતી ગુગલ અને અન્ય સર્ચ એન્જીન પરથી મળી જાય છે પરંતુ સ્વાનુભવની વાત કંઈક અનોખી છે એટલે આજે અહીં એ વાત લખવાનું મન થયું. એ સમયે ત્યાં જે માહોલ સર્જાયો હતો એમાં સૌ રસતરબોળ હતા. એક જાતના ટ્રાંસમાં હોઈએ એવી લાગણી હતી. કૃષ્ણથી કોણ અભિભૂત નથી?

    અવિનાશ વ્યાસ માટે એવું કહેવાયું છે કે,

    “ગામમાં ઘર હોય ને ત્યાં એના નાનકડા ખોરડામાં ય લીંપણ તો હોય. કવિના શબ્દો આ લીંપણ છે તો એની પર ઓકળીઓ બીછાવવાનું કામ સંગીતકાર કરે છે. અવિનાશ વ્યાસે તો ગુજરાતી ભાષાના ગીતો રચીને એને સંગીતે મઢીને આ લીંપણ અને ઓકળીઓ એમ બંનેથી ગુજરાતના ખોરડાને શોભાવ્યું છે.”

    બાકી એમ જ કંઈ સ્ટેજ પર ગોકુળિયું સર્જાય છે?

    અને પછી તો જશોદા સુધી પહોંચેલી ફરિયાદોનો સૂર પકડીને જશોદાનો અમથો અમથો ગુસ્સો, દેખાવ ખાતર કરેલી લાલ આંખ, હાથમાં આવે એ દોરડાથી ખાંડણિયા સાથે કાનુડાને બાંધવું, કાનુડાનો સ્વ બચાવ એમ એક પછી એક બનતા બનાવને સાંકળીને અવિનાશ વ્યાસે લગભગ બારેક જેટલા ગીતોથી રાસદુલારી નૃત્યનાટિકા રચી છે જેમાં રાધાનો કૃષ્ણ માટેનો રાગ અને રાવ એમ બંને પણ અત્યંત ભાવવાહી રીતે વ્યકત થયા છે.

    કેમ રે વિસારી ઓ વનના વિહારી,
    તારી રાધા દુલારીને કેમ રે વિસારી…
    નહીં જાઉં, જમના ઘાટ, મુરલી મને નથ ગમતી,
    દિન રજનીભર શ્યામસુંદરના અધર પર એ રમતી,
    મુરલી મને નથ ગમતી.’

    આ ગીત માટે સાંભળેલી એક વાતનો અત્રે ઉલ્લેખ કરવાનું મન થાય છે. ‘રાસ દુલારી’ સ્ટેજ શો માટેનું રેકોર્ડિંગ અમદાવાદના સ્ટુડિયોમાં થયું હતું. મુંબઈમાં જાણીતા ઉદઘોષક શ્રી સુહાગ દીવાનનો ડબિંગ અને એડિટિંગ સ્ટુડિયો હતો. જ્યારે આ રેકોર્ડિંગ એડિટિંગ માટે મુંબઈ મોકલવામાં આવ્યું ત્યારે એમને ‘કેમ રે વિસારી; ગીત એટલું ગમ્યું કે એને ગુજરાતી ફિલ્મમાં લેવામાં આવ્યું. ‘રાસ દુલારી’ માટે હર્ષિદાબેન રાવલે ગાયેલું ફિલ્મમાં આશા ભોંસલે દ્વારા ગવાયું.

    અહીં વાત આટલી જ છે કે કોઈ પણ ગીતકાર પાસે એક અપેક્ષા તો ચોક્કસ જ હોય કે એમના શબ્દો, ભાવ સમસ્ત સુધી પહોંચે. આપણી અપેક્ષાઓ અવિનાશ વ્યાસની તમામ રચનાઓ થકી સાચા અર્થમાં પૂર્ણ થઈ છે. જો કે આ તો રાસદુલારીની ઝલક માત્ર છે. થોડામાં ઝાઝું સમાવાની વાત છે બાકી અવિનાશ વ્યાસની યાદ અનંત છે.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

     

  • મોટા ભાગે સમસ્યાઓના ઉપાય દૃષ્ટિની મર્યાદાની બહાર મળી રહે છે.

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

    મિટિંગ દરમ્યાન કોઈએ કહ્યું, “AI એ ન કરી શકે.”

    દસમાંથી નવ વખત, આવું વાક્ય સાવ સાચું નથી હોતું.

    એટલા માટે નહીં કે, સમસ્યાના ઉકેલો, કે હવે AI મોડેલો, માં સુધારાઓ થતા રહે જ છે.
    પરંતુ એટલા માટે કે (સમસ્યાના) ઉકેલોની સીમાઓ ક્યાંથી વિસ્તરી શકે તેનો અંદાજ અધુરો કે ખોટો હોય છે.

    બાલ્કનીમાં ઉભેલા એક માણસે આ વાત જોઈ શકાય તેમ કરી બતાવ્યું.

    કબુતરો દ્વારા માળાઓ બાંધવાના ત્રાસનો કોઈ ઉકેલ નહોતો મળતો.

    એણે બાલ્કનીની દિવાલ પર કેમેરા ગોઠવ્યો. હથેળીથી પણ નાનાં એક પાટીયાં પર (AI આધારિત ) ભાળ કાઢતું – detection – (જેમ કે Vision AI) મોડેલ[1] ચલાવ્યું, અને પછી તેને પાણીની પિસ્તોલ સાથે વાયરથી જોડી દીધું.

    કબુતર આવે, પાણીની પિચકારી છૂટ્રે, કબુતર ઉડી જાય. જરા પણ ઈજા પામ્યા વિના.

    [2]

    તેણે એ મોડેલ માટે ક્યારે પણ કબુતરની તસવીરો ન વાપરી.
    તેણે તો ‘કબુતર’ ટાઈપ કર્યું અને મોડેલને એ શબ્દ ઓળખાવ્યો.
    દૃષ્ટિકોણમાં નાનો સો ફરક, અને સિસ્ટમ નવા જ પ્રકારની બની ગઈ.

    કમ્પ્યુટરનાં મોટાં ભાગનાં કામો શી રીતે થશે તે તેના માટે સોફ્ટવેરની રચના સમયે જ નક્કી થઈ જતું હોય છે. તેમાં કઈ પણ ફેરફાર કરવો એટલે કોડીંગ સુધારવું કે નવેસરથી કરવું.

    અહીં, પ્રોગ્રમનાં પરિણામોની વર્તણૂકને તો પહેલે તબક્કે જ સુધારી લેવાઈ છે.

    એટલે, પ્રોગ્રામની રચના  દરમ્યાનના આવશ્યક અવરોધને હટાવી લેવાયો છે. હવે ચિત્રને બદલે તમને યોગ્ય લાગે એ મુજબનું નામ મુકી દેવાયું છે.
    આ બહુ શાંત ફેરફાર છે. આવા શાંત ફેરફારની કલ્પના કરવી અને તેને પ્રોગ્રામમાં સામેલ કરવા એ સામાન્યપણે ખર્ચાળ નીવડતું હોય છે.  પોતાને મર્યાદિત કરનાર અવરોધનું ઈષ્ટતમકરણ કરવું  ટીમ માટેની એક સતત ચાલતી પ્રવૃતિ છે.

    હવે તમારી પોતાની જરૂરિયાત ઉપર તેને ચકાસો. છેલ્લે જેને અશક્ય કહ્યું હતું, તેને પસંદ કરો. તેને એક જ શબ્દમાં વર્ણવો.

    મોટા ભાગે, અશક્યતા એ રીતે સ્પષ્ટ થતાં વાકયને કારણે ઓગળી જાય છે. ક્યારેક એવું ન થાય.  તો એ ફરી એક વાર નક્કર પાઠ શીખવાની તક છે.

    ખેર, બન્ને કિસ્સામાં ખરો અવરોધ શું હતો એ તો તો તમે ખોળી કાઢ્યું છે.

    મોટા ભાગે, અશક્ય કંઈ જ નથી હોતું. તેને ખરેખર ઓળખી ને સ્પષ્ટ નથી કરાયું હોતું.


    [1] How to Detect People Using YOLO and Google Generative AI

    [2] (Credit: built and first shared by u/muxamilian on r/SideProject on Reddit.)


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • નવું નવું શીખતી રહેતી સંસ્થાઓ પાસેથી શીખવા જેવા પાંચ મહત્વના પદાર્થપાઠ

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    સમસ્યાઓ, પડકારો અને (એક યા બીજા પ્રકારની) બિનકાર્યસાધકતાઓ કોઈપણ સંસ્થાનો જ ભાગ છે. ફરક એટલો પડે છે કે સંસ્થાઓ તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે.

    મારી અત્યાર સુધીની કારકિર્દીમાં, મેં (મોટે ભાગે) બે પ્રકારની સંસ્થાઓ જોઈ છે.

    પહેલા પ્રકારની સંસ્થાઓ એ છે જે સમસ્યાના ક્ષેત્રોને જાણે છે, પરંતુ ભવિષ્યમાં તેમને રોકવા માટે જરૂરી માળખું બનાવવા માટે રોકાણ કરવા તૈયાર નથી. તેથી, જ્યારે જ્યારે સમસ્યા આવે ત્યારે આવી સંસ્થાઓ તેને સુધારવાનો પ્રયાસ કરે છે. સમસ્યાને લગતી ટીમો અને માળખાં બનાવાય છે, જ્યાં સમસ્યાઓ આવે ત્યાં લોકોને વધુ મહેનત કરવા માટે પ્રેરિત કરવામાં આવે (અને ક્યારેક ફરજ પણ પાડવામાં આવે.). દરેક પ્રોજેક્ટમાં સમાન પડકારો દેખાતા હોય છે. એટલેકે, સમસ્યાને મહદ્‍અંશે જાણવી પણ તેના વિશે કંઈ ન કરવું. પ્રક્રિયાઓ (અને સુધારણા) ને ખર્ચ તરીકે જોવામાં આવે છે.

    આવા કિસ્સાઓ, મોટા ભાગે જોવામાં આવતાં, અસંતુષ્ટ ગ્રાહકો, ટીમના નાખુશ નિરાશ સભ્યો, મધ્યમ સ્તરનું સંચાલન સ્તર વેરવિખેર અને વ્યવસાયને વધારવામાં ડગલેને પગલે મુશ્કેલીઓ જેવાં અંતિમ પરિણામોની ચિત્રપટ્ટી ચાલ્યા જ કરે છે.

    બીજા પ્રકારની સંસ્થાઓ એ છે જેને આપણે “નવું નવું શીખતી રહેતી સંસ્થાઓ” કહીએ છીએ. તેઓ પણ પહેલા પ્રકારની સંસ્થાઓ જેવા જ પડકારો અને સમસ્યાઓનો સામનો કરે છે, પરંતુ ફક્ત એક જ વાર. જ્યારે સમસ્યાઓ આવે છે, ત્યારે તેઓ પહેલા તેને સુધારે છે પરંતુ પછી, તેને બીજી વાર આવતાં કેવી રીતે અટકાવી શકાય તે અંગે કાળજીપૂર્વક વિચાર કરે છે. તેઓ પ્રક્રિયા સુધારણા પર ફોકસ ગ્રુપ બનાવે છે, જે કંઈ નવા પાઠ શીખવા મળે તેમનું દસ્તાવેજીકરણ કરે છે, ટીમોને સતત તાલીમ આપે છે અને તેમની પ્રક્રિયાઓમાં નિવારક પગલાંનો સમાવેશ કરે છે. તેઓ સમજે છે કે સમસ્યાઓ આવવી એ તો સંપૂર્ણપણે સામાન્ય બાબત છે, પરંતુ વારંવાર એક જ સમસ્યાઓ ન આવવી જોઈએ. તેઓ પ્રક્રિયાઓ અને સુધારણાને ભવિષ્ય માટેનું રોકાણ માને છે.

    આ અવલોકનોમાંથી આટલી કેટલીક મુખ્ય બાબતો તારવી શકાય:

    • સમસ્યાઓ વ્યવસાયનો એક અનિવાર્ય ભાગ છે. વ્યવસાયની વૃદ્ધિ તેના પર આધાર રાખે છે કે તમે દર વખતે એક ને એક જ સમસ્યાઓનો સામનો કરો છો કે નવી નવી સમસ્યાઓનો સામનો કરો છો.
    • પ્રક્રિયાઓ પ્રસ્થાપિત કરવી અને સુધારણા ટીમોનું આયોજન કરવું  શરૂઆતમાં ખર્ચાળ લાગી શકે છે, પરંતુ, લાંબે ગાળે, પ્રક્રિયાઓને પરિપક્વ કરીને અને ગ્રાહકો જેને મહત્વનું ઘણે છે એવી અનુભૂતિઓ પહોંચાડવાની લોકોની ક્ષમતામાં સુધારો કરીને, તે ખરેખર પૈસા બચાવે છે.
    • સુધારો હંમેશા ખર્ચાળ ન હોઈ શકે. તમે તમારી વર્તમાન ટીમમાંથી નાનું ફોકસ ગ્રુપ બનાવી શકો છો અને વારંવાર આવતી નાની નાનીસમસ્યાઓમાં સુધારો કરી શકો છો. એકવાર નોંધપાત્ર પરિણામો દેખાવા લાગે, પછી તમે વધુ રોકાણ કરી શકો છો.
    • (તમારા વ્યવસાયના જીવનકાળમાં) તમે પ્રક્રિયાઓ અને સુધારણા વિશે જેટલું વહેલું વિચારશો, તેટલું સારું (અને ઓછું ખર્ચાળ). જ્યારે સમસ્યાઓને અવગણ્યા કરવામાં આવે ત્યારે સમસ્યાઓ અનેક ગણી બનવા લાગે છે.
    • એ સમજવું મહત્વપૂર્ણ છે કે એવી પ્રક્રિયા/અભિગમ વિકસાવવાં લગભગ અશક્ય છે જે સંસ્થાએ સામનો કરવી પડતી તમામ સંભવિત સમસ્યાઓની આગાહી કરે. આ વાત નાના કે મોટા, બધા, વ્યવસાયો માટે સાચી છે.

    પીટર સેન્જે સંગઠન વિકાસ અને સિસ્ટમ વિચારસરણી પર કેટલાક અદ્‍ભૂત કાર્ય કર્યા છે.

    શું તમે આવી સંસ્થાઓ જોઈ છે? તમને એમાંથી શું પાઠ મળ્યા? વાતચીતમાં જોડાઓ અને તમારા અનુભવો જણાવો.


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • જર્સીનો રંગ બદલવાથી બીજું કશું બદલાશે ખરું?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    હોકીના ખેલાડીએ હાથમાં હોકી સ્ટિક લઈને દોડવાનું હોય, બીજા ખેલાડીને પાસ આપવાનો હોય, ગોલ કરવાનો હોય. આ બધામાં તેણે પહેરેલી જર્સીનો રંગ કોઈ રીતે મદદરૂપ બની શકે ખરો? તેણે પહેરેલી જર્સીનો રંગ વાદળી હોય કે કેસરી, હોકી સ્ટિક અને તેની આવડત એની એ જ રહે છે. આમ છતાં, રંગની એક મુશ્કેલી છે. શરૂઆતમાં એ કેવળ રંગ હોય છે. ધીમે ધીમે એ ઓળખ બને છે. ઓળખમાંથી એ સ્મૃતિનું રૂપ લે છે અને જોતજોતાંમાં એ સ્મૃતિમાંથી વારસો બની જાય છે.

    ભારતીય હોકી ટીમની ઓળખ બની ગયેલી વાદળી રંગની જર્સી સાથે બિલકુલ આવું થયું છે. સોએક વર્ષથી ભારતીય હોકી ટીમ સાથે આ રંગ અભિન્નપણે સંકળાઈ ગયો છે. અને હવે આ વાદળી રંગનું સ્થાન કેસરી રંગ લેવાનો છે. રંગ તો રંગ હોય છે, પણ તેની સાથે આપણે વિવિધ ભાવથી લઈને ધાર્મિક લાગણીઓ સાંકળતાં હોઈએ છીએ. રંગ જેવી બાબત પર પણ રાજકારણ ખેલાતું થઈ ગયું છે. અને એ જ ક્રમમાં કેસરી રંગ પર પસંદગી ઊતરી હોય એમ જણાય છે. હકીકતમાં કેસરી રંગ અન્ય કોઈ રંગ જેવો જ રંગ છે. તેની સામે શો વાંધો હોઈ શકે? ભારતના ધ્વજમાં પણ એક રંગ કેસરી છે, જે ત્યાગ અને બલિદાન સૂચવે છે. તેનો પોતાનો એક અર્થ છે, એક સ્થાન છે. એટલે સવાલ કેસરી રંગનો નથી. સવાલ એ છે કે કેસરી રંગને લાવવા માટે વાદળી રંગને શું કામ હટાવવો પડ્યો?

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    આવો સવાલ પૂછનારને ચોક્કસ રંગવિરોધી,  તેથી ચોક્કસ પક્ષવિરોધી અને એ કારણે રાષ્ટ્રવિરોધી ગણાવી દેવા માટે કેટલાય લોકો ટાંપીને બેઠા હોય છે. આદર્શ રીતે જોઈએ તો કોઈ રંગ કોઈ એક પક્ષની માલિકીનો નથી,  છતાં રંગને કોઈ એક રાજકીય અર્થમાં મર્યાદિત કરી દેવાનું રાજકારણ જૂનું છે.

    જર્સીનો રંગ બદલવો હોય તો બદલી શકાય. તેનું ક્યાં કોઈ શાસ્ત્ર છે? આખી દુનિયાની ટીમો પોતાની કિટ બદલતી રહે છે. પ્રાયોજકો બદલાય, ડિઝાઇન બદલાય, આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ રંગ બદલવો પડે—આ બધો રમતજગતનો સામાન્ય વ્યવહાર છે. પણ એક બાબત સામાન્ય વ્યવહારથી થોડી અલગ પડે છે. એ છે એક રમતની ઐતિહાસિક ઓળખને બદલવી.

    એક સમય હતો જ્યારે ભારતીય હોકીનું નામ સાંભળતાં દુનિયાને ભારત યાદ આવતું અને ભારતને હોકી. ધ્યાનચંદથી લઈને બલબીરસિંહ સુધીના ખેલાડીઓ અને તેમની પછીની પેઢીઓએ જે વારસો ઊભો કર્યો, એ કોઈ જર્સી ડિઝાઇનરની કલ્પના કરતાં અનેક ગણો મોટો છે, કેમ કે, એ ઊભો કરવા માટે ખેલાડીઓએ પરસેવો સીંચેલો છે. આથી અહીં સવાલ થાય કે જર્સીનો રંગ બદલવાનો આ નિર્ણય લીધો કોણે? એની પાછળનું કોઈ કારણ ખરું? એના માટે સંબંધિત ખેલાડીઓ અને આ રમતના ભૂતપૂર્વ દિગ્ગજો સાથે કશી ચર્ચા થઈ ખરી? આવા સવાલ અને શંકા એટલા માટે પણ થાય કે હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ ટિર્કીએ સુધ્ધાં આ નિર્ણયની મંજૂરી અંગે સવાલ ઉઠાવ્યો છે. મતલબ કે માત્ર જર્સીના રંગની નથી; નિર્ણય લેવાની રીતની પણ કરવી પડે.

    આવો આદેશ ખરેખર ‘ઊપરથી’ આવ્યો કે પછી ‘ઊપરવાળા’ને ખુશ કરવા સંબંધિત અધિકારીઓએ આવો નિર્ણય લીધો? એક બાબત આપણા મનમાં સ્પષ્ટ હોવી જોઈએ કે જે તે કાળખંડના કોઈ હોદ્દેદારને મળેલી સત્તા અને કોઈ એક પેઢીનો સુદીર્ઘ વારસો-આ બન્ને અલગ બાબતો છે. જે વ્યક્તિ આજે અધિકારી છે, તે કાલે નહીં હોય. આજે જે ખેલાડી છે, તે થોડાં વર્ષ પછી ભૂતપૂર્વ ખેલાડી બની જશે. પ્રમુખ બદલાશે, કોચ બદલાશે, પ્રાયોજક બદલાશે. પણ સંસ્થાની સ્મૃતિ નિરંતર રહેવાની. ઘણી વાર આપણે સંસ્થાઓને એવી રીતે જોઈએ છીએ જાણે કે ત્યાં બેઠેલા લોકો એટલે જ સંસ્થા. હકીકતમાં સંસ્થા એ લોકો કરતાં વધુ પરિપક્વ અને સુદીર્ઘ હોય છે.

    એક તરફ જોરશોરથી આપણે વારસાને જાળવવાની વાત કરીએ છીએ અને સાથોસાથ વારસાની સૌથી દેખાતી નિશાનીને બદલી નાખીએ છીએ. તેના માટે કારણ પણ એવું ક્ષુલ્લક આપીએ છીએ કે આ તો રાષ્ટ્રીય રંગ છે. શું ભારતની ઓળખ કેવળ એક રંગમાં સમાઈ જાય છે?  અરે, આપણા રાષ્ટ્રધ્વજમાં પણ ત્રણ રંગ છે. અને ભારતનો ઇતિહાસ એથીય અનેકગણો રંગીન છે.

    મુખ્ય મુદ્દો એ નથી કે જર્સીનો રંગ કેસરી કેમ કર્યો. અરે! એમાં સફેદ અને લીલો ઊમેરીને રાષ્ટ્રધ્વજના રંગો પણ કરી શકાય. વાત એ છે કે કેવળ રં બદલવાથી ભારતીય હોકીની પરિસ્થિતિમાં કશો ફેરફાર થવાનો છે ખરો? નવા રંગની જર્સીથી ભારતીય હોકીની રમતમાં કશી નવિનતા આવ્શે? નવી પ્રતિભાને તક, તાલીમની નિતનવી પદ્ધતિઓ, સારી સુવિધાઓ. યોગ્ય વહીવટ, ખેલાડીઓ પ્રત્યેની જવાબદારી અને આખરે, મેદાન પરનું પ્રદર્શન. કેવળ જર્સીનો રંગ બદલવાથી આમાંની એકેય વસ્તુ સુધરવાની છે? હા, કદાચ નવા રંગની જર્સી બજારમાં પણ વેચાતી થશે. તેની તસવીરો આવશે. થશે. સોશિયલ મીડિયા પર ચર્ચા થશે. થોડા દિવસ લોકો તેના રંગ વિશે વાત કરશે. પણ પછી મેદાન પરની વાસ્તવિક રમત શરૂ થશે ત્યારે રંગ નહીં, ખેલાડી દેખાશે.

    એટલે હરીફરીને આ આખી ચર્ચા કદાચ એક જ સવાલ પર આવીને અટકે છે: આપણે ભારતીય હોકીની ઓળખમાં કંઈ ઉમેરવા માગીએ છીએ કે કંઈ કાઢી નાખવા માગીએ છીએ? રંગ બદલવાથી જર્સી બદલાશે, સંબંધિત નિર્ણયકર્તાથી કદાચ રાજકીય નેતાઓ ખુશ થઈને તેને બઢતી આપશે, પણ એ રીતે ન તો ઈતિહાસ બદલી શકાશે, ન તો પ્રવર્તમાન પરિસ્થિતિમાં કશો સુધારો લાવી શકાશે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૨૭-૮– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • પનામા – નગર અને નિસર્ગનો દેશ : ૯

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    અકબરભાઈ અને ફાતિમાબેન મને આસપાસનો પાડોશ બતાવવા લઈ ગયાં, ત્યારે મને પનામા શહેરના મંદિરમાં પણ લઈ ગયાં હતાં. મને યાદ હતું કે આગલી વાર મને એ મંદિર પર લઈ ગયા હતા. એમને પણ એ યાદ હતું.

    રસ્તા પરથી એક ફાંટો ખાસ્સો ઉપર ગયો. ત્યાં, એક નાની ટેકરી પર આ મંદિર હતું. શહેર નીચે પથરાયેલું દેખાય. મને જરા જુદું લાગ્યું, ને ત્યારે વાત થઈ, કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એમાં સાચે જ ફેરફાર કરવામાં આવ્યો હતો. મુખ્ય દ્વાર આમ હતું તેને બદલે તેમ થયું, ને એ પ્રમાણે અંદર મૂર્તિઓની ગોઠવણી પણ બદલાઈ હતી.

    અકબરભાઈએ કહ્યું, કે ભજન ને પૂજાપાઠ તો બરાબર છે, પણ રાસ-ગરબા વખતે એટલે તો મોટેથી મ્યુઝીક ચલાવે કે દૂર સુધી સંભળાય. વળી, ઘણી મોડી રાત સુધી પણ ચાલુ રહે. અમારાં બધાંનાં ઘર સુધી નવ નવ રાત —- એ તો સજ્જન છે, એમણે વાક્ય પૂરું ના કર્યું. ને ખરેખર જ, બહારના કમ્પાઉન્ડમાં મોટાં મોટાં સ્પીકર ગોઠવેલાં હતાં. નીચે રહેલા રહેવાસી વિભાગોને ગાજતા હું કલ્પી શકી.

    પણ આ વર્તન ક્યારેય, ને ક્યાંય પણ સારું નથી લાગતું. અન્ય દેશમાં, અન્ય પ્રજાને અગવડ આપવાનું વલણ કેવું કહેવાય? જેમ પેલા પાર્કમાં રાતે આઠ વાગ્યે મ્યુઝીક બંધ કરી દેવામાં આવ્યું હતું, તેમ અહીં અગિયાર વાગ્યે પણ બંધ ના કરી દઈ શકાય? હવે તો ભારતનાં શહેરોમાં પણ આ નિયંત્રણ મૂકવામાં આવ્યાં છે.

    ખેર, આમ કરતાં કરતાં, આખરે, ગયાના અને પનામાની સંયુક્ત સફરનો છેલ્લો દિવસ આવી લાગ્યો હતો. પનામા સિટીથી ન્યૂયૉર્કની ફ્લાઇટ છેક સાંજે હતી, અને મોટા ભાગનો દિવસ હજી બચેલો હતો, તેથી મનમાં પ્રશ્નોની ખેંચતાણ થવા માંડેલી – જાઉં? ના જાઉં? જવું જોઇએ? કે ચાલશે? રાત દરમ્યાન આ પ્રશ્નો મનમાં ઘુમરાતા રહેલા. ને અલબત્ત, જવાનું જ નક્કી કર્યું. છેવટે, એકસો વર્ષ થતાં હતાં એટલે તવારિખ અગત્યની કહેવાય, મેં વિચાર્યું. અલબત્ત, જરાક લાગણીમાં ખંેચાઇને.

    મનની અંદરની અવઢવનો આ સંદર્ભ હતો જગ-વિખ્યાત પનામા કૅનાલનો. ૧૯૧૪માં, વિશ્વ યુદ્ધના કારમા પડછાયામાં રહ્યે રહ્યે, પૅસિફિક અને ઍટલાન્ટીક મહાસાગરોને જોડતો આ જળ-માર્ગ ખુલ્યો હતો. આટલાં વર્ષોમાં એ પણ નાની પડવા માંડી, ને તેથી સમાંતરે બીજી કૅનાલ બનાવવાનું શરૂ થયું. કહે છે, કે ૨૦૧૫ના ડિસેમ્બર સુધીમાં એ પણ ખુલી જશે. પછી વધારે મોટાં અને વધારે સંખ્યામાં કાર્ગો-સામાન ભરેલાં વહાણો અવરજવર કરી શકશે.

    મેં કૅનાલની સફર બોટમાં  તો પહેલી વારની ટ્રીપ દરમ્યાન કરેલી. આ વખતે મેં એક ટ્રેન-સફર વિષે વાંચેલું. એ પણ ઐતિહાસિક ટ્રેન છે, ને તેથી એ આજે લઈ લઉં, કે ના લઉં?, એવા સવાલ મુંઝવતા રહેલા. પણ નવું જોવાનો મોહ-લોભ ક્યારે ખાળી શકાયો છે મારાથી?

    હોટેલમાંથી રસ્તા પર આવીને, સવારે સવા છ વાગ્યે ટૅક્સી લીધી. કૉરૉઝાલ નામના નાના સ્ટેશનેથી આ ટ્રેન લેવાની હતી. એની ટિકિટનો ભાવ પણ વધી ગયો છે, તો સામે લોકો સાવ ઓછા હતા. પચીસ પણ નહીં હોય. આખી સફર પૂરી થઈ ત્યારે નિરાશ જ થવાયું. એનું જે પ્રમાણેનું વર્ણન આપવામાં આવે છે તેવું કશું ના લાગ્યું. જેમકે, મૂળ કૅનાલ ખૂબ ઓછી વાર દેખાઈ, વન્ય પ્રાણીઓ નજરે ના પડ્યાં, વગેરે.

    આ રેલ-વે સૌ પ્રથમ ૧૮૫૫માં બંધાઈ હતી. હજાર ચીની લોકોને આ કામ માટે લાવવામાં આવેલા. કૅનાલ ચાલુ થઈ ગઈ પછી આ ટ્રેનનો વપરાશ બંધ થઈ ગયો. વીસમી સદીનાં છેલ્લાં વર્ષોમાં ફરી આ ટ્રેન, એના પાટા વગેરેનું સમારકામ શરૂ થયું. છેલ્લાં પંદરેક વર્ષથી, લગભગ એંસી કિ.મિ.ની આ ટ્રેન-સફર પ્રવાસીઓને માટેની પ્રવૃત્તિ તરીકે ચલાવવામાં આવી રહી છે.

    ટ્રેનને બહારથી પીળા અને લાલ રંગે, અને પનામા કૅનાલ રેલ-રોડ જેવા શબ્દોથી ચિતરી છે. અંદર દરેક બોગીમાં સરસ પૉલિશ કરેલાં લાકડાં જડેલાં છે, સુંદર લૅમ્પની શોભા છે, અને બેસવાની સીટો આરામપ્રદ છે. આખો રસ્તો પનામાનાં જંગલમાં થઈને જાય છે. ક્યાંક કાદવિયાં ખાબોચિયાં દેખાય, તો ક્યાંક હાડપીંજર જેવાં સૂકાં ઝાડ દેખાય. આમ કરતાં, એકાદ કલાકે એ કોલોન નામના ગામની બહારના, સાવ સૂની જગ્યાએ બનેલા સ્ટેશન પર પહોંચે છે.

    પનામા સિટી પાછાં આ ટ્રેનમાં જવું હોય તો એ સાંજે છેક પાંચ વાગ્યે એ અહીંથી નીકળે. એ દરમ્યાન, ફરી મોંઘી ટૅક્સી કરી આસપાસ જવાય. હું બસો દ્વારા આ બધી જગ્યાઓએ જઈ આવી હતી, આગલી વખતે; તેથી હવે મેં પનામા સિટી પાછાં જવા માટે કોલોન ગામના બસ-સ્ટેશન પરથી એક બસ લઈ લીધી.

    ત્યાંથી ફરી મૅટ્રો લઈને હોટેલ પર પહોંચી. ઍરપૉર્ટ જવા માટેની ટૅક્સી મેં હોટેલમાંથી જ બૂક કરાવી દીધી. લંચ લઈ લીધા પછી, સમય થતાં હું ઍરપૉર્ટ જવા નીકળી ગઈ. મુખ્ય એક જ રસ્તો છે. એના પરથી જ જવાનું, તેથી ટ્રાફીકનો ખ્યાલ રાખવો પડતો હોય છે. ઉપરાંત, મથક ખૂબ મોટું હોય, એટલે પૂરતો સમય પણ રાખવો પડે.

    બસ, વિમાન સમયસર સાંજના સાડા છ વાગ્યે ઊપડ્યું. રાતના સાડા બાર વાગ્યે એ ન્યૂયૉર્ક પહોંચ્યું. એ પછી વળી ટૅક્સી લીધી, અને વહેલી સવારે પોણા બે વાગ્યે ઘેર પહોંચી ગઈ. એ તો પરિચિત સ્થાન. ત્યાં તો સુખરૂપ જ પહોંચવાનું હોય ને.


    ( સમાપ્ત)


    હવે પછી ઃ મોંગોલિયા


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • એક અનોખી ચિત્ર શ્રેણી – આનંદ અનુભવ – ચિત્રકારઃ ડૉ. ગીતા આચાર્ય – ચિત્રની વિવિધ સર્જનાત્મક કેડીએ

    રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ

    પહેલાં ઓઈલ કલરથી શરુ કર્યા પછી વોટર કલર વાપરવાનું વધારે અનુકૂળ લાગ્યું. વોટર કલરનો વધુ અભ્યાસ તેમજ નવું શીખવાના ઉત્સાહ સાથે બીજી કલાકારીમાં પણ કુશળતા મેળવી.

    ગીતા કહે છે…મારું MBA, પૂર્ણ કર્યા પછી, મને the Greater Guildford area માં એક કલાકાર સાથે પરિચય થયો અને તેના સ્ટુડિયોની વ્યવસાયિક બાજુની રચના કરવામાં મદદ કરવાનું શરૂ કર્યું. અમારા સાથેના એ સમય દરમિયાન, તેણીએ મને મારી ‘in-control’ mindset  સામે સૌમ્ય પડકાર તરીકે સિલ્ક પેઇન્ટિંગનો પરિચય આપ્યો – જેમાં તમારું નિયંત્રણ છોડી શરણાગતિ સ્વીકારી…રંગોને પોતાનું સ્વત્વ લેવા દવું પડે છે.

    Silk Painting Using the Serti Technique; a  traditional silk-painting method in which resistance, such as gutta, creates patterns that prevent the dyes from spreading to neighboring areas.

    સેર્ટી પરંપરાગત રેશમ-પેઇન્ટિંગ પદ્ધતિ છે જેમાં ગુટ્ટા (રબર જેવા સંયોજક પદાર્થ)  રંગોને પડોશી વિસ્તારોમાં ફેલાતા અટકાવે છે.

    1. રેશમને ધોઈને ફ્રેમ પર સજ્જડ રીતે ખેંચો.
    2. ફાઇન-ટીપ એપ્લિકેટરનો ઉપયોગ કરી રેશમ પર ગુટ્ટા લગાવી રેખાંકન કરી, સૂકાવા દેવું.
    3. રેશમ રંગો, steam-set silk dyes. વરાળથી સેટ રેશમ રંગો અને નરમ બ્રશનો ઉપયોગ કરો. દરેક ગુટ્ટા-બાઉન્ડેડ વિભાગની અંદર રંગ કરી, પેઇન્ટેડ રેશમને સંપૂર્ણ રીતે સૂકવવા દો.
    4. સૂકા રેશમને સાફ કરી, printed paperમાં રંગેલો ભાગ એકબીજાને અડે નહીં એ રીતે વીંટાળો.
    5. વીંટાળેલ રેશમને યોગ્ય સ્ટીમરમાં પાણીની સપાટીથી ઉપર રાખો. સામાન્ય રીતે 1-3 કલાક લાગે.
    6. રેશમને ઠંડુ થવા દો, પછી વધારાના રંગને દૂર કરવા માટે તેને હળવેથી ધોઈ લો અને ગુટ્ટા દૂર કરો.
    રેશમ-પેઇન્ટિંગ – તૈયારીઓ અને પરિણામ

    એક વધુ કલા શીખવામાં રસ લીધો તે છે, સુમી–ઈ ચિત્રકળા

    સુમી જાપાનની એક લોકપ્રિય ચિત્રકળાનો પ્રકાર છે. સુમી એટલે કાળી સ્યાહી. સુમી ચિત્રો વિરોધાભાસની મદદથી સુચારૂતા દર્શાવે છે.

    સુમી માટે માત્ર કાગળ, શાહી અને બ્રસની જ આવશ્યક્તા છે. સુમી માટેની શાહી એ સાદી શાહી નથી, પણ પાઈનના બળેલાં લાકડાંની રાખ સાથે દિવાના મેશના મિશ્રણથી બનેલો રંગ છે. આ પદાર્થોને કપૂર અને ગ્લુની મદદથી સ્ટીક બનાવીને સાચવી રાખવામાં આવે છે. જ્યારે વાપરવો હોય ત્યારે એને પાણીમાં ભીંજાવી પથ્થર ઉપર વાટીને શાહી જેવું ગાઢું પ્રવાહી બનાવવામાં આવે છે. એને જરૂર અનુસાર ઘેરૂં કે આછું કરી શકાય છે.

    સુમી ચિત્રો માટેના બ્રશ પણ અલગ પ્રકારના હોય છે. હાથ બનાવટના કાગળ, જેને રાઈસપેપર કહેવામાં આવે છે, એ બાંબુમાંથી બને છે. એ નરમ અને ભેજ ચૂસી લે એવા હોય છે.

    સુમી ચિત્રો સાદા અને સરળ હોય છે, અને કલાકાર જે કહેવા માગે છે એ સહેલાઈથી સમજાય છે. સુમી ચિત્રોમાં રેખા ચિત્રો પણ હોઈ શકે. આવા ચિત્રોમાં બારીકાઈ કે શણગાર જેવું કંઈ હોતું નથી.

    અહીં ગીતાબહેને તૈયાર કરેલા સુમી આર્ટના ચિત્રો આપ્યા છે.

    તો અહીં ગણેશના ચિત્રો.

    હાથબનાવટના ખાદીના કાગળ ઉપર દોરેલું આ ચિત્ર Chiddingfold High street નું છે. ઈંગ્લેંડમાં સુંદર મકાનોની હાર આ ૧૧” બાય ૧૫” ના ચિત્રમાં ૨૦૦૯ માં ચિત્રાંકિત કરવામાં આવી હતી.

     

    ‘સોનેરી સવાર’ આ કુદરતી માહોલમાં ચિત્રકાર
          એમના બાળકો સાથે દૂર સુધી ચાલવા જતાં…
    … મળી ગયું વાદળી રંગના ફૂલોથી સજેલા વૃક્ષોની વચ્ચે  દોડતું હરણ. માર્ચ ૨૦૧૭.
    પ્રેમથી ઊછેરેલા પુષ્પો.

    Geeta. geetaa4@gmail.com  NewJersey.


    Saryu Parikhસરયૂ પરીખ  www.saryu.wordpress.com