-
આનંદો! પ્લાસ્ટિકની નોટોનો જમાનો આવી રહ્યો છે!
નિસબત
ચંદુ મહેરિયા
જો બધું સમુસુથરું પાર પડશે તો આગામી ૨૦૨૭-૨૮ના નાણાકીય વરસમાં આપણા ચલણમાં કાગળની સાથે પ્લાસ્ટિકની નોટ આવી ગઈ હશે! રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના બોર્ડ ઓફ ડિરેકટર્સની ભલામણના આધારે R B I એ કેન્દ્ર સરકારને પોલીમર બેન્ક નોટ(પ્લાસ્ટિકની નોટ) પ્રગટ કરવાની મંજૂરી માંગતી દરખાસ્ત કરી હતી. ભારત સરકારે તાજેતરમાં R B I ને રૂ.૧૦ અને રૂ.૨૦ ની ૧૦૦-૧૦૦ કરોડ એમ કુલ રૂ.૨૦૦ કરોડની પ્લાસ્ટિક નોટ છાપવાની મંજૂરી આપી છે. તેના અનુસંધાને R B I એ ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યું છે. એટલે દસ અને વીસ રૂપિયાની પ્લાસ્ટિકની નોટો આગામી વરસે બજારમાં આવી જવાની શક્યતા છે.
પરદેશના રાષ્ટ્રપ્રમુખને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસ્તા પરની રેંકડીના ચા અને વડાપાઉં ખવડાવી બિલનું ડિજિટલ પેમેન્ટ કરાવડાવ્યું તે ઠાલો દેખાડો નહોતો. પરંતુ ભારતમાં યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ કેટલી હદે વિસ્તરી ચૂક્યું છે તેનો સંકેત હતો. ડિજિટલ ચુકવણામાં ભારત વિશ્વના અગ્રણી દેશ તરીકે ઉભરી રહ્યો છે અને ભારતનું આર્થિક પરિદ્રશ્ય બદલાઈ રહ્યું છે તેવું નિ:સંદેહ લાગે છે.
પરંતુ કદાચ આ ઈન્ડિયાની વાસ્તવિકતા છે. ભારતનું વાસ્તવ જુદું છે. દેશના લાખો ગામડાઓમાં વસતા સામાન્ય લોકો, ખેડૂતો, ખેતમજૂરો, કારીગરો, નાના દુકાનદારો , વિશાળ અસંગઠિત ક્ષેત્ર અને સ્થાનિક બજારોમાં આજે ય નાણાકીય લેવડદેવડ રોકડ રૂપિયામાં જ થાય છે. ગામડાઓમાં સતત વીજળી મળતી નથી એટલે નિર્બાધ ઈન્ટરનેટ સેવા શક્ય ન હોવાથી ડિજિટલ પેમેન્ટ બાધિત થાય છે. વીજળીના અભાવે સર્વર ડાઉન હોય, ઈન્ટરનેટ ચાલતું ન હોય, મોબાઈલ ચાર્જ થયેલો ન હોય ત્યારે રોકડમાં વધુ વ્યવહાર થાય તે સહજ છે. ભલે નાણાંકીય વ્યવહાર ઓનલાઈન વધ્યો હોય પણ રોકડનો તે વિકલ્પ બની શક્યો નથી. બંને સાથે ચાલે છે એ હકીકત સ્વીકારીને પણ કહેવું પડે તેમ છે કે રોકડથી થતા નાણાના વ્યવહારો વધ્યા છે. ૨૦૨૫-૨૬માં રોકડ નાણાથી રૂ.૪૨.૮૬ લાખ કરોડના વ્યવહારો થયા હતા. એ વરસે રોકડની માંગમાં ૧૧.૫ ટકાની વૃધ્ધિ થઈ હતી. જે તેના ગયા વરસના ૫.૮ની સરખામણીએ લગભગ ડબલ છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વાર્ષિક અહેવાલમાં કહેવાયું છે કે ૨૦૨૩-૨૪માં હાલ વ્યવહારમાં છે તે કાગળની નોટોનો છપામણી ખર્ચ રૂ.૫૧૦૧.૪ કરોડ હતો. જે ૨૦૨૪-૨૫માં વધીને રૂ.૬૩૭૨.૮ કરોડ થયો હતો. ખરાબ, રદ્દી, ગંદી, ફાટેલી અને ફરી ઉપયોગમાં લઈ ન શકાય તેવી થઈ ગયેલી ૨૩.૮ અબજ નોટોનો નાશ કરવામાં આવ્યો હતો. રૂ. ૧૦ અને રૂ.૨૦ના સિક્કા કેન્દ્રિય બેન્કે બજારમાં મૂક્યા હતા પરંતુ તેની સ્વીકાર્યતા બહુ ઓછી છે. વળી ડિજિટલની તુલનામાં પણ રોકડ નાણામાં લેવડદેવડ વધી છે એટલે R B Iએ પાતળા પ્લાસ્ટિક કે પાલીપ્રોપાઈલીન નામક વિશેષ સિન્થેટિક પ્લાસ્ટિકમાંથી બનતી પ્લાસ્ટિકની નોટો બનાવવાનું મન બનાવી લીધું છે. હાલમાં નાના મૂલ્યની રૂ. ૧૦ અને રૂ.૨૦ ની નોટો પ્રગટ થશે. તેના અનુભવો પછી આગળ વિચારવામાં આવશે. જોકે સરકારે હાલના લોકસભાના વર્ષાસત્રમાં જ ખાતરી આપી છે કે કાગળની નોટોને રદ કરવામાં નહીં આવે કે એના બદલે પ્લાસ્ટિક નોટ છે તેવું પણ કરવામાં નહીં આવે. બંને નોટો બજારમાં પ્રચલનમાં રહેશે.
હાલની કાગળની નોટોને અધિક સલામત, કુશળ અને ટકાઉ બનાવવાનો પડકાર R B I સમક્ષ હતો. તેણે જ પ્લાસ્ટિક નોટનો વિકલ્પ પસંદ કર્યો છે. પોલીમર કે પ્લાસ્ટિક બેન્ક નોટની કેટલીક ખાસિયતો કે વિશેષતાઓ છે. તે કાગળની નોટના વિકલ્પે ફાયદાકારક છે. પ્લાસ્ટિકની નોટનો પ્રારંભિક છપામણી ખર્ચ ઘણો વધારે છે પરંતુ કાગળની નોટની સરખામણીએ આ નોટ પાંચ થી સાત ગણી વધુ ટકાઉ છે. એટલે કાગળની નોટોનો દર વરસે થતો છપામણીનો ખર્ચ ઘટશે અને નાશ કરવાનું પ્રમાણ પણ ઓછું થતાં સરવાળે નાણાકીય ફાયદો થઈ શકે તેમ છે.
હાલની કાગળની નોટોની ધૂમ નકલી નોટો બજારમાં ફરે છે. નકલી નોટો એક મોટી સમસ્યા છે. નકલી નોટો પર અંકુશ મૂકવા પ્લાસ્ટિકની નોટો પર સ્પેશ્યલ સિક્યોરિટી ફીચર જોડવાની વ્યવસ્થા છે. પારદર્શી વિંડો અને ઉન્નત સલામતી થ્રેડ તથા એડવાન્સ હોલોગ્રાફિક ફીચર્સને કારણે પ્લાસ્ટિકની નોટોની નકલ કરવી લગભગ અશક્ય બનશે. તે સૌથી મોટો ફાયદો છે. પોલીમર નોટનો સ્પર્શ સામાન્ય નોટ જેવો જ છે પરંતુ તે પાણીમાં પલળવા છતાં ગળતી નથી. સહેલાઈથી ફાટતી નથી. પાણી, ગંદકી, ભેજ અને ધૂળથી ખરાબ થઈ જતી નથી. એટલે દર વરસે અમુક નોટોનો નાશ કરવાનો સવાલ ઉભો થશે નહીં.
પોલીમર બેન્ક નોટનો આ વિચાર કંઈ તાજેતરનો અને આપણા જ દેશનો નથી. બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, ન્યૂઝીલેન્ડ, મલેશિયા, રોમાનિયા અને વિયેટનામ સહિતના ૬૦ દેશોમાં પ્લાસ્ટિકની નોટ ચલણમાં છે. કેટલાક દેશોમાં ત્રણ દાયકાથી તે બજારમાં છે અને એકમાત્ર પ્લાસ્ટિકની નોટ જ ચલણમાં છે. આપણે સૌથી પહેલાં ૨૦૦૯માં પ્લાસ્ટિકની નોટનો વિચાર કર્યો હતો. ૨૦૧૨ અને ૨૦૧૭માં તે માટેની કેટલીક પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. પરંતુ છેક હવે લગભગ દોઢ દાયકે કંઈક અંશે તે વિચાર અમલમાં મૂકાવાની સંભાવના ઉભી થઈ છે.
ભારત સરકારના નાણા મંત્રાલયની મંજૂરી અને ગ્લોબલ ટેન્ડર છતાં પ્લાસ્ટિકની નોટને બજારમાં મૂકવાના વિચારને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે. ગ્લોબલ ટેન્ડર પ્લાસ્ટિક નોટના સંપૂર્ણ નિર્માણનું માંગ્યું છે.પરંતુ હાલના નાણું છાપતા ચાર સરકારી પ્રેસ ( નાસિક, દેવાસ, મૈસુર, સાલબોની)ને પણ પ્લાસ્ટિક નોટ છાપવા તકનિકી રીતે સજ્જ કરવાની આવશ્યકતા છે. અલગ અલગ વાતાવરણ દેશના ભૂ ભાગોમાં નોટોનું પરીક્ષણ થવું જોઈએ. બેન્કોના વર્તમાન એટીએમ અને નોટો ગણવાના મશીનોને પ્લાસ્ટિક નોટો માટે અનુકૂળ બનાવવાંની પણ જરૂર રહેશે. પ્લાસ્ટિકની નોટો ચલણમાં આવે તે પહેલાં તેનો લોકજાગ્રતિ માટે વ્યાપક પ્રચાર કરવો પડશે.જેથી લોકો તેના ઉપયોગ માટે સજ્જ બને. પાયલોટ્ પ્રોજેકટ તરીકે પહેલાં તેને ચોક્કસ વિસ્તારોમાં મૂકવી જોઈએ. તે પૂર્વે તેની ગુણવત્તાની ચકાસણી અને નિર્માણ કામગીરીનું મૂલ્યાંકન થવું જોઈએ.
ડિજિટલ નાણાકીય વ્યવહારો અને રોકડથી થતા વ્યવહારો બંને આજના ભારતની વાસ્તવિકતા છે. તેને એકબીજાના વિરોધી, સારા-નરસા કે ઉચ- નીચની નજરે જોવાની જરૂર નથી. કાગળની નોટને બદલે પ્લાસ્ટિકની નોટનું બજારમાં આવવું તે કોઈ સામાન્ય બદલાવ નથી. ભારતના ભાવિ આર્થિક વિકાસ માટે તે મહત્વનું પગલું છે. દેશને ન માત્ર આર્થિક દ્રષ્ટિએ નાણાની સલામતી અને ટકાઉ પણાની રીતે પણ પ્લાસ્ટિક નોટ બહેતર સાબિત થઈ શકશે તેમ સરકારનું અને અર્થવિદોનું કહેવું છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
જઠરાગ્નિઃ ઉમાશંકર જોશી
જઠરાગ્નિઃ ઉમાશંકર જોશી
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા!રચો, રચો ચંદનવાટિકાઓ,
રાચો, રચી કંચનસ્થંભમાળા
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે! અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે?દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે!
આસ્વાદઃ દેવિકા ધ્રુવ
ઉમાશંકર જોશીની આ ‘જઠરાગ્નિ’ કવિતા ઉપજાતિ છંદમાં ગૂંથાયેલ એક સોનેટ છે. આમ તો એ સીધી અને સરળ ભાષામાં લખાયેલ હોઈ એકદમ તરત જ સમજાઈ જાય છે. પણ તેમાં રહેલ કવિની સંવેદનાનાં વિવિધ પાસાંઓ અને તે સમયના સામાજિક ચિત્રો પ્રતિબિંબિત થયાં છે જે ખરેખર આસ્વાદ તરફ ખેંચી જાય છે. ઘણાં ભાવકોએ પોતપોતાની રીતે અનુભવીને આલેખન પણ કર્યું છે.
આ કાવ્ય એક વાર વાંચી લીધા પછી એકદમ તરત, પહેલું તો વિસ્મય એ થાય છે કે, એક પ્રકૃતિપ્રેમી અને સંવેદનાઓને કોમળતાથી કવિતામાં કંડારનારા કવિ શ્રી ઉમાશંકરભાઈ એક આક્રોશ દર્શાવતું કાવ્ય પણ આપી શકે! ૧૯૧૧માં જન્મેલા આ મહાન કવિએ તેમની માત્ર ૨૧ વર્ષની ઉંમરે, એટલે કે ખૂબ શરૂઆતના વર્ષોમાં આ કાવ્ય લખ્યું છે.
પ્રથમ પંક્તિ છેઃ “ રચો, રચો અંબરચુંબી મંદિરો, ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!” અહીં શબ્દેશબ્દમાંથી નીકળતા ટોનમાં-ધ્વનિમાં વ્યંગાત્મક આક્રોશ છે. પણ માત્ર આક્રોશ નથી. હિત છૂપાયેલો ઠપકો છે, ચિંતાનો સૂર છે; જાણે વાત્સલ્યભરી માનો રોષભર્યો ભાવ છે. અને તે ભાવ કવિની અલગ અલગ શૈલીમાં આ કાવ્યમાં વ્યક્ત થયો છે. એ કહે છે કે, મહેલ, મિનારા, ઝુમ્મર, ફુવારા, ચંદનવાટિકા, કંચનસ્થંભમાળા, ઘુમ્મટો, ક્રીડાંગણ, ચંદ્રશાળા…આહાહા… રચો, રચો..
શરૂઆતમાં કવિએ ધનિકો જે કંઈ રચાવી શકે અને રચાવી રહ્યાં છે તેને વર્ણનાત્મક શૈલીમાં ગણાવ્યાં છે. તે દરેક રચાતી ઈમારત,જગા કે બાંધણીને વળી વિશેષણોથી નવાજી છે. દા.ત.અંબરચુંબી મંદિરો,ઊંચા મ્હેલ, મિનારા, સ્ફટિક મઢ્યાં ઝુમ્મરો, રંગીન ફુવારા,ચંદનની વાટિકાઓ, કંચનની સ્થંભમાળા, નવરંગી ઘુમ્મટો, ક્રીડાંગણ, ચંદ્રશાળા વગેરે વગેરે. અને તેમ કહેતાં કહેતાં ‘રચો, રચો ’ શબ્દને બે વાર ઘૂંટ્યો છે જે વ્યંગના ભાવને એકદમ ઘેરો ઉપસાવે છે.
આગળની પંક્તિઓમાં ‘રચો’ની સાથે ‘રાચો’ શબ્દ દ્વારા વર્ણાનુપ્રાસ અલંકાર સ્વાભાવિક રીતે ગૂંથાયો છે અને તેમાં રાચવાની ક્રિયાઓમાં અમીરોના વર્તન સામે આક્રોશી અને ચિંતાજનક સૂર સંભળાય છે. ભૌતિક વસ્તુઓમાંથી મળતી ક્ષણિક ખુશીઓમાં રાચો, એમાં મ્હાલો, ઉજવણીઓ કરો,આનંદો,આનંદો વગેરે..અભિવ્યક્તિમાં ભરેલો કટાક્ષ ભાવકનાં હૈયાંને અડતો જાય છે.
આમ, સાદા, સીધા અને તરત જ સમજાઈ જાય તેવા શબ્દો થકી કવિએ કાવ્યાત્મક્તા સાથે ધાર્યું નિશાન તાક્યું છે. સમાજમાં ઊભા થયેલા અસમાનતાના વર્ગો સામેનો એક અવાજ સંભળાવ્યો છે.
તે પછી નવમી પંક્તિથી કવિ ચેતવણી આપે છે. એ અમીરોને કહે છે કે, તમારે જેટલું અને જેવું ભવ્ય રચવું હોય તે રચજો પણ યાદ રાખજો કે આ બધા એકમેકના અંતરને રુંધતા પથ્થરો છે. સમાજમાં આ જે કંઈ ચાલી રહ્યું છે તે ગરીબોની ઉપહાસ લીલા છે, ભેદભાવની શિલા છે. સમય એ ક્યારેય સાંખી શક્શે નહિ. જ્યારે સમય ફરશે ત્યારે – કરોડો ગરીબોની આહ ઓકતી અને ભૂખથી રીબાતા માનવીઓના પેટની આગ પ્રજ્વલશે અને એવી ફેલાશે કે બધું જ એમાં ભસ્મીભૂત થઈ જશે. પછી એમાંથી આ ભવ્ય ઈમારતોની એક કણી પણ રહેશે નહિ. આ છેલ્લી બે પંક્તિઓ તો એટલી ચોટદાર છે કે,વર્ષોથી મનમાં કોતરાઈ ગઈ છે.
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે!ઉમાશંકરભાઈ યુગદૄષ્ટા હતા. વાસ્તવિકતાનું ચિત્ર આપી કવિતાની રીતે, વર્ષો પહેલાં એમણે ચેતવણી આપી હતી; જાણે કે, ભવિષ્યવાણી ભાખી હતી કે કાળના ગર્ભમાંથી શું શું નીકળશે. એમણે તે સમાજના ઊભી થયેલી અસમાનતાના વિભાગો સામે, અન્યાય પામતા વર્ગો તરફ આંખ ઉઘાડવા વિશેનો પડકાર ફેંક્યો હતો. તેમની એક બીજી કવિતા ‘પહેરણનું ગીત’માં પણ કંઈક આવો જ આક્રોશ સંભળાય છે કેઃ
રામજી કાં રોટલા મોંઘા?
લોહી માંસ આટલાં સોંઘાં?તો ‘ નીશીથ’ કાવ્યસંગ્રહમાં પણ કવિની પંક્તિઓ છે કે,
કાં ભૂખ ને ભોજન હેં વિખૂટાં?
કાં બેય સહેજે મળી શકે ના?ગરીબોના પરસેવા અને અમીરોની પ્રસન્ન્તા! કવિની આ સંવેદના એટલી તીવ્રતાથી વ્યક્ત થઈ છે જે કોઈપણ વાચકના હૃદયમાં સોંસરવી ઉતરી જાય છે. ગરીબોની ઉપેક્ષા દર્શાવતું આ એક કટાક્ષથી ભરેલું સોનેટ છે. દલિત વર્ગની કવિતા તેમના સમયમાં ઘણી લખાતી. આ વિશે જરા જુદી રીતે કવિ શ્રી કરસનદાસ માણેકના શબ્દો છેઃ
એક દિન આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં
પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો અન્નકૂટની વેળા
ચાંદીની ચાખડીએ ચડીને ભક્ત થયા’તા ભેળા..સુંદરમ્ ની પણ એક કવિતા યાદ આવે જઃ
રામને મંદિર ઝાલર બાજે, ઘંટના ઘોર સુણાય.
શેઠની મેડિએ થાળીવાજું, નૌતમ ગાણાં ગાય..અ બધી કવિતાઓ સર્વકાલીન કવિતા. એ લખાય છે ત્યારે કવિતા એ યુગની હોય છે પણ કહેવાય છે કે, યુગ કવિને ઘડે છે અને કવિ એના યુગને રચે છે. સાચા કવિઓ ધરતી પરના સૌંદર્યનાં ગીતો રચે છે તો એ સૌંદર્યને ભૂંસતા પરિબળો સામે અજંપો પણ ઠાલવે છે. વળી આ કવિ તો વિશ્વમાનવીના સ્વપ્નસેવી અને વિશ્વશાંતિના ચાહક અને આહવાહક કવિ છે. તેમના અંતરમાંથી ઊઠેલા પૂણ્યપ્રકોપનું આ કાવ્ય છે. આમ, ક્રાંતિની ચેતવણી આપતું ઉ.જો.નું આ ‘જઠરાગ્નિ’ કાવ્ય તેમના વિચારો, લાગણીઓ અને સમાજ તરફની જાગ્રત ચેતનામાંથી સર્જાયેલું છે અને તેથી એ સર્વકાલીન કવિતાનું ઉત્તમ ઉદાહરણ છે એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી..
Devika Dhruva.- ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
-
માણસને ખસેડીને રોબોટ્સની ગુલામી….
રવીન્દ્ર પારેખ
ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ ૬ થી ૧૨ ધોરણ દરમિયાન જ રોબોટિક્સ એન્જિનિયરિંગ ભણે એ હેતુથી અમદાવાદની સીબીએસઈ અને મ્યુનિસિપલ સ્કૂલોમાં કોર્સ શરૂ થવા જઈ રહ્યા છે. આ વિષય સ્કૂલોમાં પોલિટેકનિકના વિદ્યાર્થીઓ ભણાવશે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને સ્કિલ બેઝ શિક્ષણ મળે તે હેતુથી ગવર્નમેન્ટ પોલિટેકનિકની ફેકલ્ટીઝ નક્કી કરવામાં આવેલી સ્કૂલોમાં રોબોટિક્સ એન્જિનિયરિંગ ભણાવશે અને કોર્સ પૂરો કરનાર વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપશે.
આ કોર્સની જુદા જુદા કલાકોની અવધિ માટે ૩૩૦૦ થી ૬૩૦૦ રૂપિયા સુધીની ફી નક્કી કરવામાં આવી છે. અમદાવાદની મ્યુનિસિપલ સ્કૂલોમાં ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓને આ કોર્સ વિનામૂલ્યે કરાવવામાં આવશે. ગમ્મત એ છે કે અઢી વર્ષ કોરોનાને કારણે પ્રાઈમરી શિક્ષણ પૂરું થયું નથી. માસ પ્રમોશનથી સૌ પાસ થયા છે, લર્નિંગ લોસની ચિંતા નથી અને રોબોટિક્સ એન્જિનિયરિંગ ભણાવવાની વાતો ચાલે છે. છેને કમાલ !
બીજી તરફ નેચરલ ઇન્ટેલિજન્સની સમાંતરે આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો મહિમા વધ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોમ્પ્યુટર સાયન્સની એવી શાખા છે કે જે એવાં મશીનોને વિકસિત કરે છે જે માણસની જેમ વિચારી શકે છે અને તેની જેમ કાર્ય કરી શકે છે. જેમ કે અવાજની ઓળખ, સમસ્યાનો ઉકેલ, શીખવું, વિચારવું, આયોજન… વગેરે. આમ તો આ માણસ કે પ્રાણી દ્વારા પ્રગટતી કુદરતી બૌદ્ધિકતાથી અલગ, એવી મશીનો દ્વારા પ્રગટતી બૌદ્ધિકતા છે. એમાં કોમ્પ્યુટર દ્વારા નિયંત્રિત રોબોટ કે સોફ્ટવેરને એવી રીતે વિકસાવવાની વાત છે જે બિલકુલ એ રીતે વિચારી શકે જેમ માનવમગજ વિચારે છે.
ટૂંકમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા એવાં મશીનો વિકસાવાઈ રહ્યાં છે જે પોતાના વાતાવરણની સાથે ઇન્ટરેક્ટકરીને જે ડેટા પ્રાપ્ત થાય છે તેના પર પોતાની બુદ્ધિથી નિર્ણય લે. જો માણસને કોઈ સમસ્યા ઊભી થાય તો તેનો ઉકેલ એઆઈ આપે એમ બને. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેવલપ માણસ કરશે અને માણસનું માર્ગદર્શન એઆઈ કરશે. અત્યારે તો એ પ્રારંભિક તબક્કામાં છે, પણ ટેકનોલોજીના જમાનામાં તે માણસથી આગળ નીકળે એમ બને.
SIRI વિષે ઘણાં જાણતા હશે. તે એપલ દ્વારા પ્રસ્તુત વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ – આભાસી સહાયક છે. તે મેસેજ મોકલી શકે છે, માહિતી મેળવી આપે છે, ફોન કરી શકે છે, ટાઈમર સેટ કરે છે, કેલેન્ડરમાં ઇવેન્ટ સેવ કરી શકે છે… વગેરે. એક રીતે તો આ વોઈસ એક્ટીવેટેડ કોમ્પ્યુટર છે. આવી જ ડિવાઇસ alexa fu google assitant પણ છે. બીજી પણ ઘણી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જનક તરીકે અમેરિકન વૈજ્ઞાનિક જ્હોન મેકાર્થીનું નામ લેવાય છે, વિશ્ર્વને અને માનવ ઇતિહાસને બદલવામાં એઆઈ ઉપયોગી થશે એમ માનવામાં આવે છે. એઆઈમાં એક મશીનમાં ડેટા સેટને ફીડ કરવામાં આવે છે ને એ એવી સ્વ શિક્ષિત પેટર્ન બનાવે છે, જે માનવબુદ્ધિની જરૂર હોય એવા વિચાર, સમજણ, શિક્ષણ, સમસ્યા નિવારણ… જેવાં કામ કરે.
ભારત એઆઈનો ઉપયોગ આર્થિક વિકાસ, ક્ષેત્રીય પ્રગતિ અને સમાવેશી વિકાસ અર્થે કરવા માંગે છે. એઆઈ વ્યૂહ રચનાઓ, સંશોધન ક્ષમતાઓને મજબૂત બનાવે છે અને વ્યવસાયને અપનાવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે. ૨૦૧૭માં વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે એઆઈનો લાભ લેવા નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. ૨૦૧૮માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લાગુ કરવા પાંચ ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યાં. એમાં આરોગ્ય, કૃષિ, શિક્ષણ, સ્માર્ટ શહેરો અને તેનાં ઇન્ફ્રાસ્ટક્ચર્સ, સ્માર્ટ પરિવહનનો સમાવેશ થાય છે. પીએમ – એસટીઆઈએસીનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ટેકનોલોજી માનવબુદ્ધિને પૂરક બનવા વિકસાવાઈ છે.
આમ જોઈએ તો વિજ્ઞાન માત્ર, માનવસમુદાયને મદદ કરવા જ વિકસ્યું છે. જુદી જુદી ટેકનોલાજીએ માનવવ્યવહાર સરળ અને સાર્થક કરી આપ્યો છે. સરકારે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે મોટાં બજેટ ફાળવ્યાં છે ને પ્રજાને તેનો લાભ પણ મળ્યો છે. રોબોટિક્સ એન્જિનિયરિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે ભવિષ્યમાં ખપમાં આવનારી અન્ય ડિવાઇસિસ માનવહિત માટે જ છે, પણ આપણે જાણીએ છીએ કે જેમ ટેકનોલોજીનો ઉપયોગ છે, એમ જ તેનો દુરુપયોગ પણ છે. કોઈ એવી પ્રાઈમરી સ્કૂલની કલ્પના કરીએ જેને શિક્ષણ સમિતિ પરિપત્રો મોકલે છે ને પત્રકોમાં વિગતો માંગે છે. એ સ્કૂલનો આચાર્ય પત્રકોમાં વિગતો ને આંકડાઓ મોકલે છે. બધી સ્કૂલો એમ જ ઓનલાઈન કે મેલથી પત્રકોમાં ડેટા મોકલે છે.
સમિતિ અધ્યક્ષ પછી એ જિલ્લા શિક્ષણાધિકારીને મોકલે છે ને એ જિલ્લાનો ડેટા રાજ્યને મોકલે છે ને રાજ્ય એ વાતે ખુશ થાય છે કે તેનાં પ્રાઈમરીના વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં આગળ છે. રાજ્ય આવી વાત ડેટા પરથી નક્કી કરે છે. બધાં આચાર્યોએ પ્રામાણિકતા દાખવી હોય ને સાચો ડેટા મોકલ્યો હોય તો વાંધો જ નથી, પણ અહીં કલ્પ્યો એવો એક આચાર્ય ધારો કે એવું નક્કી કરે કે કોઈ શિક્ષકને વર્ગમાં ભણાવવા મોકલવા જ નથી ને શિક્ષકોને કાલ્પનિક ડેટા તૈયાર કરવા જોતરાય ને એ જ ડેટા આચાર્ય મોકલી આપે ને સમિતિ પણ એ જ આગળ જવા દે તો રાજ્યને સાચું ચિત્ર પહોંચે એમ લાગે છે ?
ડેટા તે શિક્ષણ નથી, પણ સમિતિને કે રાજ્યને તે ડેટા જ જોઈએ છે. સ્કૂલો પણ એ જ આપે છે જે જોઈએ છે ને આમ વર્ગમાં ભણ્યા વગર જ વિદ્યાર્થીઓ ખોટા ડેટા પરથી હોંશિયાર ગણાય એમ બને. શિક્ષણ વિભાગ પણ ઓન પેપર ‘ફેક્ટ્સ’ એન્ડ ફિંગર્સથી રાજી થાય એમ બને. કહેવાનું તાત્પર્ય એ છે કે આ વર્ગશિક્ષણનું સાચું ચિત્ર નથી. ટેકનોલોજીના ઉપયોગે એ સ્થિતિ સર્જી છે કે કોઈ સાવ ખોટું કરે ને વિગતો મોકલી આપે તો તે સાચું મનાય એવું જોખમ છે. આ ગંભીર બાબત છે.
એટમની શોધ થઈ એમ જ એટમબોમ્બ પણ બન્યો ને તેણે જે પરિણામો આપ્યાં છે તેની અસરોથી આજે પણ માનવજાત મુક્ત નથી. ટેકનોલોજીએ માણસનો વ્યવહાર વધુ સરળ કરી આપ્યો ને સમય બચાવ્યો એ ખરું, પણ સમયનો વધુ સારો ઉપયોગ કરવાને બદલે માણસ ટેકનોલોજીમાં જ વધુ વ્યસ્ત રહેવા લાગ્યો. મોબાઈલે સંપર્ક સરળ કરી આપ્યો. પણ એમ થતાં ઘરના સભ્યો મોબાઈલમાં જ વધુ બિઝી થઈ ગયા. દુનિયા ઘરમાં આવી ગઈ ને ઘર દુનિયામાં ખોવાઈ ગયું.
જ્યાં સુધી ભારતને લાગે વળગે છે ત્યાં સુધી એ વિચારવા જેવું છે કે આ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભારતને અનિવાર્યતા કેટલી છે ? અહીં ટેકનોલોજીનો કે વિજ્ઞાનનો વિરોધ નથી. વિદેશમાં ખપ છે માટે ભારતમાં પણ તે જરૂરી છે એમ માનીને તો આપણે બધું દાખલ કરી રહ્યાં નથીને તે ગંભીરતાથી વિચારવા જેવું છે. ઉદાહરણ તરીકે એ જોઈએ કે રોબોટિક્સ એન્જિનિયરિંગની અનિવાર્યતા કેમ ઊભી થઈ ? તો એનો જવાબ આ કે ઉદ્યોગો મેન પાવરને ઘટાડવા અને ઓટોમેટિક મશીનોનો ઉપયોગ વધારવા માંગે છે, એમાં રોબોટિક્સ એન્જિનિયરિંગ ઉપયોગી થાય એમ છે.
ધારો કે બધા ઉદ્યોગો એનો ઉપયોગ વધારે છે તો માણસનું કામ મશીનો કરી લેશે ને એટલા માણસો ફાજલ પડશે. આખા દેશમાં અસહ્ય મોંઘવારી વચ્ચે માણસો બેકાર થાય ને કરોડો બેરોજગારોમાં વધારો થાય એ ઇચ્છવા જેવું ખરું ? એક બાજુ સરકાર રોજગારી ઊભી કરવામાં હાંફી જઈ રહી હોય ત્યાં ઉદ્યોગો મશીનો વધારીને માણસોને નવરા પાડે એ કોઈ રીતે ઉપકારક નથી તે સમજી લેવાનું રહે.
આમ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હેતુ માણસનાી મદદમાં રહેવાનો જ છે, પણ જરા વિચારો કે રોબોટ્સ કે મશીનો માણસની બુદ્ધિ કરતાં વધુ વિચારતાં ને પરફેક્ટ નિર્ણયો લેતાં થાય તો કોઈ માણસનો ભાવ પૂછે એવું લાગે છે ? ક્ષતિરહિત અને ત્વરિત નિર્ણયો અનેક માનવ-કલાકોને વિકલ્પે, રોબોટ્સ કરતાં થાય તો માણસનો કોઈ ઉપયોગ જ ન રહે એમ બને. આવા ઉપયોગી ન રહેલા માણસોથી બેકારી વધશે કે ઘટશે? વધુ વિચારતાં એમ લાગે છે કે મશીનો માણસોને મર્યાદિત કરે તે પહેલાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અંગે પુનર્વિચાર થવો જરૂરી છે.
એમ લાગે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસની શોધ હોય તો પણ તેની ક્ષમતા બધી રીતે માણસને પાછળ પાડે તેવી છે. મશીનો માણસને ખસેડીને ગોઠવાઈ જાય ને માણસ કોઈ કામનો ન રહે એવું મશીનો કરે તો આઘાત ન લાગવો જોઈએ. કોણ જાણે કેમ પણ સ્વાર્થને કારણે સજીવ માણસ કરતાં આપણને નિર્જીવ મશીનો વધુ ઉપયોગી લાગવા માંડ્યાં છે. આમ પણ પ્રત્યક્ષ શિક્ષણનું સ્થાન ઓનલાઈન શિક્ષણે લેવા જ માંડ્યું છે. અત્યારે પણ ઓનલાઈન ભણાવે તો છે માણસો જ, પણ કાલે એવું બને કે મશીન જ ભણાવે. વર્ગમાં શિક્ષક નહીં, રોબોટ ભણાવે એવા દિવસો હવે દૂર નથી.
જો મશીનો માણસને વિકલ્પે સક્રિય થાય તો બાળકોને ભણાવવાની જરૂર જ કેટલી રહે ? કામ તો મશીનો લાગવાનાં છે, તો માણસોને કે તેનાં બાળકોને ભણાવવાની જરૂર ખરી ? સો બાળકો ભણાવવા તેના કરતાં એક મશીનને ભણાવવું વધારે સહેલું નહીં ? ને એ જ સો માણસનું કામ કરી આપવાનું હોય તો ફેક્ટરીમાં કે અન્ય સંસ્થાઓમાં સો માણસો કરતાં એક મશીન વસાવવું જ વધારે સહેલું ને સસ્તું નહીં ? માણસોનો છેદ મશીનો જ ઉડાડે એવું પૂરું જોખમ છે. માણસો જોઈશે તો ખરા, પણ મશીનો ચલાવવા પૂરતાં જ, પછી તો મશીનો જ વધારાના માણસોને હાંકી કાઢશે. આમાં કોઈને અતિશયોક્તિ લાગે કદાચ, પણ આ સાવ અશક્ય પણ નથી.
જરા વધારે અતિશયોક્તિ કરી જોઈએ ? જો મશીનો જ હાવિ થવાનાં હોય તો થોડી રાહત પણ થાય, જેમ કે ઓફિસો મશીનો સંભાળે, એમ જ જોખમી જગ્યાએ રોબોટ્સ પણ ગોઠવી શકાય. બધા જ દેશો એવું કરી શકે કે બધી સરહદો પર સૈનિકોને બદલે રોબોટ્સ જ ગોઠવી દે. સામસામે રોબોટ્સ લડે. કોઈ સૈનિક શહીદ જ ન થાય. થાય તો રોબોટ્સ થાય. ક્યાંય માણસો હોય જ નહીં કે જનમ-મરણના આંકડાથી ખાનાં ભરવાં પડે. રેલ આવે, ધરતીકંપ થાય, અકસ્માતો થાય, આગ લાગે કે પર્વતો તૂટી પડે, કોઈ માનવહાનિ જ નહીં ! કોઈ વળતર જ આપવાનું નહીં. માણસો જ નહીં, તો મોંઘવારી પણ શું બગાડી શકે ? સાંસદ રોબોટ્સ જ હોય, ચૂંટણી લડે રોબોટ્સ, પ્રચાર કરે રોબોટ્સ, મત આપે રોબોટ્સ, ચૂંટાય રોબોટ્સ, ડોક્ટરો રોબોટ્સ, દર્દીઓ રોબોટ્સ, નો વસતિ, નો વસ્તી ગણતરી, નો કોરોના, નો ડેથ. માણસ જ ન હોય તો કોરોના થાય કોને ? હસવું આવે છેને ! પણ, હસવા જેવું નથી.
ભૂમિપુત્ર : ૧૬ મે, ૨૦૨૫
-
મારી આંતરયાત્રા : સુકાતા વહેણની કથા
સુકાતા વહેણની કથા
એક નદી, એક જંગલ અને અનેક અનકહી વાતો.
નદી પૂછે કિનારાને, “ક્યાં ખોવાયો સાથ?”
પવન જવાબે બોલ્યો, “મૌન જ જીવનપાથ.”મૂળ લેખન ✍️:- copyright ©️ 2026 Nagpur રાત્રે ૧:૩૦
आज खो गई वोह नदी
आज खो गई है वोह नदी, कभी ख़ुश थी,
लहरों की खिलखिलाहट अब अपने ही गर्त में डूबी है।
जिसकी सतह पर सूरज अपनी किरणें बिछाता था,
आज वही सतह अपने ही प्रतिबिंब से डरकर सिमटी है।
उसकी गहराइयों में अब पानी नहीं—
बस जमे हुए सवालों की ठंडक है,
जिन्हें कोई सुन भी नहीं सकता।
वह बहती तो है, पर बहाव में अब उद्देश्य नहीं,
थक चुकी है—लगभग मर चुकी है,
पर फिर भी अपने शरीर की अंतिम शक्ति से चलने की कोशिश करती है।
किनारों के सहारे को वह बार–बार पुकारती है,
पर जवाब में सिर्फ़ नापरवाही की हवा मिलती है—
यहीं कारण है कि उसके सारे शब्द
धीरे–धीरे भीतर घुलकर अंधेरे हो गए हैं।
अब तो रात में जब चाँद उतरता है पास,
नदी उसे भी अपने रहस्य में झाँकने नहीं देती—
उसके भीतर रोशनी के लिए कोई जगह नहीं बची।
और फिर भी… किसी शिकायत के बिना,
वह अपनी खोई हुई आत्मा को साथ लिए बहती रहती है—
मानो अपने ही अस्तित्व का बोझ ढोने का
यही अंतिम मार्ग उसे स्वीकार हो गया हो।
મારા ઉપરોક્ત લખાણનું સ્ત્રોત નાગપુર પાસે આવેલ તાડોબાના જંગલમાંથી મને મળ્યું હતું. ભારત પહોંચ્યાંના બીજા જ અઠવાડિયે અમે નાગપુર તાડોબાની મુલાકાત લીધી હતી. હરાભરા જંગલની વચ્ચે નદીના સૂકાતા વહેણે મારા મનને ઉદાસ કરી દીધેલ. જેને કારણે ઉપરોક્ત રચનાનો જન્મ થયો. હવે આ જ અછાંદસ રચનાનો ગુજરાતી અનુવાદ માણીએ.
આ કવિતામાં નદી માત્ર નદી નથી. તે મનુષ્યના અંતરમનનું, એકલતાનું અને અંદરથી થાકી ગયેલા અસ્તિત્વનું પ્રતીક છે. જો તેનો માહોલ તાડોબાના જંગલ સાથે જોડવો હોય, તો ગુજરાતી રૂપાંતરમાં જંગલની નિઃશબ્દતા, સૂકાતી નદી અને પ્રકૃતિની વેદનાને પણ સ્પર્શી શકાય.
આજે ખોવાઈ ગઈ છે એ નદી…
આજે ખોવાઈ ગઈ છે એ નદી, કદી ખુશ હતી,
તેની લહેરોની ખિલખિલાટ હવે પોતાના જ ગર્તમાં ડૂબી ગઈ છે.જેની સપાટી પર સૂરજ કિરણોની ચાદર પાથરતો હતો,
આજે એ જ સપાટી પોતાના પ્રતિબિંબથી ડરીને સંકોચાઈ ગઈ છે.તેની ઊંડાઈઓમાં હવે પાણી નથી—
માત્ર થીજી ગયેલા પ્રશ્નોની ઠંડક છે,
જેને સાંભળનાર પણ કોઈ નથી.તે વહે તો છે,
પણ હવે તેના વહેણમાં કોઈ હેતુ નથી,
થાકી ગઈ છે—જાણે મરી જવા જેટલી થાકી ગઈ છે,
છતાં પોતાના અસ્તિત્વની છેલ્લી શક્તિ ભેગી કરીને
આગળ વધવાનો પ્રયત્ન કરે છે.કિનારાના સહારાને તે વારંવાર પોકારે છે,
પણ જવાબમાં માત્ર ઉપેક્ષાની પવન મળે છે.
કદાચ એટલા માટે જ તેના બધા શબ્દો
ધીમે ધીમે અંદર જ ઓગળી અંધકાર બની ગયા છે.હવે તો રાત્રે જ્યારે ચંદ્ર તેની નજીક ઉતરે છે,
ત્યારે પણ નદી તેને પોતાના રહસ્યોમાં ઝાંખવા દેતી નથી.
તેના અંતરમાં હવે પ્રકાશ માટે કોઈ જગ્યા બચી નથી.અને છતાં…
કોઈ ફરિયાદ વગર,
પોતાની ખોવાઈ ગયેલી આત્માને સાથે લઈને
એ સતત વહેતી રહે છે—
જાણે પોતાના અસ્તિત્વનો ભાર વહન કરવો જ
તેનો અંતિમ સ્વીકાર બની ગયો હોય.
તાડોબાના જંગલમાં ખોવાયેલી નદી — એક આંતરયાત્રા
તાડોબાના જંગલમાં ફરતાં ઘણીવાર એવું લાગે છે કે પ્રકૃતિ માત્ર વૃક્ષો, પ્રાણીઓ અને પાણીનું નામ નથી. તે આપણા મનના અરીસા જેવી છે. જંગલની વચ્ચે વહેતી કોઈ નદી જો શાંત હોય, તો એ શાંતિમાં પણ અસંખ્ય કથાઓ છુપાયેલી હોય છે.
એક સાંજ તાડોબાના ઘન જંગલમાં, જ્યારે સૂર્ય વૃક્ષોની પાછળ ધીમે ધીમે ઓગળી રહ્યો હતો, ત્યારે એક નદીના કિનારે ઉભા રહીને મને લાગ્યું કે આ નદી માત્ર પાણીનો પ્રવાહ નથી. તેના અંદર કોઈ ઊંડી વ્યથા છે. જાણે તે વર્ષોથી કંઈક કહેવા માગે છે, પણ કોઈ સાંભળતું નથી.
કદી આ નદીના કિનારે વાઘ પાણી પીવા આવતા હશે, ચિત્તળનાં ટોળાં દોડતાં હશે, પક્ષીઓના કલરવથી આસપાસનું વાતાવરણ ગુંજી ઊઠતું હશે. પરંતુ સમયના વહેણે ઘણું બદલી નાખ્યું છે. નદી આજે પણ છે, પણ તેની ખુશી ક્યાંક ખોવાઈ ગઈ છે.
આ નદી આપણને માણસોની પણ યાદ અપાવે છે. જીવનમાં ઘણીવાર આપણે બહારથી સામાન્ય દેખાઈએ છીએ, પણ અંદરથી પ્રશ્નો, દુઃખ અને એકલતાનો ભાર વહન કરતા હોઈએ છીએ. બહારથી વહેતા રહીએ છીએ, પણ અંદરથી સૂકાઈ રહ્યા હોઈએ છીએ.
તાડોબાના જંગલની નિઃશબ્દતા એ દિવસે મને શીખવી ગઈ કે પ્રકૃતિની દરેક વસ્તુ જીવંત છે. નદી બોલતી નથી, છતાં તેની વ્યથા સાંભળી શકાય છે. વૃક્ષો ચાલતા નથી, છતાં તેમની ધીરજ શીખી શકાય છે. અને જંગલ મૌન છે, છતાં તે જીવનનું સૌથી ઊંડું સંગીત ગાય છે.
કદાચ આ નદી સંપૂર્ણપણે ખોવાઈ નથી. કદાચ તેને માત્ર વરસાદની રાહ છે. કદાચ તેને કોઈ સાંભળનારની રાહ છે. કદાચ તેને ફરીથી પોતાને શોધવાની રાહ છે.
જેમ તાડોબાના સૂકા જંગલમાં એક વરસાદ આખું દૃશ્ય બદલી શકે છે, તેમ જીવનમાં આશાનો એક નાનો કિરણ પણ અંદરના સૂકા પ્રદેશને ફરી હરિયાળો બનાવી શકે છે.
એટલે જ આ નદીની કથા માત્ર નદીની કથા નથી.
તે દરેક એવા મનની કથા છે,
જે બહારથી વહેતું રહે છે,
પણ અંદરથી કોઈ વરસાદની રાહ જુએ છે.
-
હૃદયતપની અમરવેલ
ભરત સાંગાણી
વિશાળ અને અનંત જણાતા રણપ્રદેશની મધ્યમાં, જ્યાં ક્ષિતિજ રેખા રેતીના ઢૂવાઓ સાથે ભળી જતી હતી, ત્યાં એક વિચિત્ર શાંતિ પ્રસરેલી હતી. આ રણ કોઈ ભૌગોલિક સ્થળ નહોતું, પણ કદાચ મનુષ્યના અંતરની શૂન્યતાનું પ્રતીક હતું. અહીં અજીત નામનો એક મુસાફર પોતાના જીવનના માર્ગો શોધતો ભટકી રહ્યો હતો. અજીત તર્કનો માણસ હતો, વિજ્ઞાનનો ઉપાસક હતો. તેના માટે દુનિયા એટલે માત્ર જે આંખે દેખાય અને જેને માપી શકાય તે જ સત્ય હતું. પણ આ રણની તરસ તેને કશુંક એવું શોધવા મજબૂર કરી રહી હતી જે તેના ગણિતમાં ક્યાંય બેસતું નહોતું.
ત્યાં જ, તેની મુલાકાત અભિજિત સાથે થઈ. અભિજિત નાનકડા બાળક જેવો હતો, પણ તેની વાણીમાં યુગોનું જ્ઞાન અને આંખોમાં બ્રહ્માંડની ગહનતા હતાં. અભિજિત પાસે એક નાનકડું ઓટલા જેવું સ્થાન હતું, જ્યાં તેણે એક અત્યંત સુંદર અને નાજુક શ્વેત પુષ્પ રોપ્યું હતું. આ પુષ્પનું નામ તેણે રૂક્ષ્મણી રાખ્યું હતું. અજીતને આશ્ચર્ય થયું કે આટલા નિર્જન રણમાં એક છોડ પાછળ આટલી મહેનત કેમ?
અભિજિતે હળવા સ્મિત સાથે કહ્યું, “અજીતભાઈ, દુનિયામાં હજારો ગુલાબ હશે, પણ આ રૂક્ષ્મણી મારા માટે અદ્વિતીય છે. મેં તેને મારા શ્વાસથી સીંચ્યું છે, મેં તેને મારા મૌનથી સાંભળ્યું છે. જ્યારે તમે કોઈને તમારો સમય આપો છો, ત્યારે તે વસ્તુ માત્ર પદાર્થ મટીને સંબંધ બની જાય છે. તપની શરૂઆત પણ અહીંથી જ થાય છ, જ્યારે સાધક અને સાધ્ય વચ્ચેનો ભેદ ભૂંસાઈ જાય.” અજીતને આ વાત ગળે ન ઉતરી. તેણે પૂછ્યું, “પણ આ તો માત્ર એક છોડ છે, તેનું આટલું જતન કેમ?”
ત્યારે અભિજિતે તેને પ્રેમ અને સમર્પણની ગૂઢ વાતો સમજાવવા માટે ભૂતકાળનાં પૃષ્ઠો ખોલ્યાં. તેણે વાત માંડી મહાન ભક્ત નામદેવની. નામદેવ એટલે એવું વ્યક્તિત્વ જેમણે પથ્થરની મૂર્તિમાં પ્રાણ જોયા હતા. નામદેવ કલાકો સુધી વિઠ્ઠલ સામે બેસી રહેતા. એ સમયે વિદ્વાન અને શાસ્ત્રજ્ઞાની પુરંદર ત્યાંથી પસાર થયા. પુરંદર પાસે વેદ-પુરાણોનું અગાધ ભાથું હતું, પણ હૃદયમાં પ્રેમની સૂકી નદી હતી.
પુરંદરે અટ્ટહાસ્ય કરતા કહ્યું, “અરે નામદેવ! તું આ જડ પથ્થર સામે કેમ રોદણાં રડે છે? જ્ઞાન મેળવ, આત્મા અને પરમાત્માના અદ્વૈતને સમજ. આ મૂર્તિ તને શું આપવાની?”
નામદેવે શાંતિથી જવાબ આપ્યો, “પુરંદરભાઈ, જ્ઞાન એ દીવો છે જે રસ્તો બતાવે છે, પણ તપ એ ચરણ છે જે મંજિલ સુધી પહોંચાડે છે. તમે જેને પથ્થર કહો છો, એમાં મને મારા પ્રભુનું હૃદય ધબકતું સંભળાય છે. જ્યારે હું આ રૂક્ષ્મણી જેવી નાજુક ભક્તિને હૃદયમાં સ્થાપું છું, ત્યારે આખી સૃષ્ટિ વિઠ્ઠલમય બની જાય છે.”
અભિજિતે આગળ બીજી વાત કરતાં કહ્યું, એકવાર નામદેવ વનમાં સાધના કરતા હતા. ત્યાં એક શ્વાન (કૂતરો) આવ્યો અને નામદેવના ભાણામાંથી રોટલો લઈને ભાગ્યો. જ્ઞાની પુરંદર પણ ત્યાં હાજર હતા. નામદેવ તો રોટલો છીનવવાને બદલે ઘીની વાટકી લઈને તે કૂતરા પાછળ દોડ્યા અને કાકલૂદી કરવા લાગ્યા, “હે પાંડુરંગ! ઊભા રહો, કોરો રોટલો ગળે વળગશે, જરા ઘી તો લગાવવા દો!”
આ દૃશ્ય જોઈ પુરંદર સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજાયું કે જે સત્ય તેઓ પોથીઓમાં શોધતા હતા, તે નામદેવે સમર્પણની એક પળમાં મેળવી લીધું હતું. અભિજિતે અજીત સામે જોઈને કહ્યું, “અજીત, પ્રેમ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે તે ભક્તિ બને છે. ત્યાં ‘હું’ અને ‘તું’ મટી જાય છે.”
તપ-ભક્તિ માત્ર બહિર્મુખ નથી હોતી. તે અંતર્મુખ પણ હોય છે. આ સમજાવવા માટે અભિજિતે નિરુપમાની વાત છેડી. નિરુપમા એક એવી તપસ્વીની હતી જે મૌન રહીને મંદિરના ખૂણામાં દીવા સાફ કરતી. તેની સેવાની કોઈને ખબર નહોતી. એક રાત્રે ભયંકર તોફાન આવ્યું. વાવાઝોડાએ મોટા વડલાઓને પણ ઊખેડી નાખ્યા. ગામના લોકો જીવ બચાવવા ભાગ્યા, પણ નિરુપમા મંદિરના ગર્ભગૃહના દ્વાર પકડીને બેસી રહી. તેની ચિંતા પોતાનો જીવ બચાવવાની નહોતી, પણ પેલા અખંડ દીવાને બુઝાવા ન દેવાની હતી.
તેણે કહ્યું હતું, “જો આ દીવો બુઝાઈ જશે, તો સૃષ્ટિના અંધકારને દૂર કરવા કયો સૂર્ય આવશે? મારા માટે આ જ્યોત એ જ મારો પરમાત્મા છે.” નિરુપમાની આ મૌન આરાધના એ સાબિતી હતી કે ભક્તિ માટે શબ્દોની જરૂર નથી, માત્ર અડગ નિશ્ચય જોઈએ.
અભિજિત અને અજીત રણમાં આગળ વધ્યા. રસ્તો લાંબો હતો, પણ વાતો એવી હતી જે સમયને થંભાવી દેતી હતી. રસ્તામાં તેમને અનિલ અને અભિષેક નામના બે મુસાફરો મળ્યા. તેઓ બંને દુન્યવી સફળતાની પાછળ દોડતા હતા. તેઓએ અભિજિતને પૂછ્યું, “અમે સુખ ક્યાંથી ખરીદી શકીએ?”
અભિજિતે પોતાના વહાલા સફેદ પુષ્પ રૂક્ષ્મણીને મનોમન યાદ કરી, હસતાં હસતાં કહ્યું: “સુખ બજારમાં નથી મળતું, તે સંબંધોની માવજતમાં મળે છે. તમે જેની પાછળ તમારો અંશ ખર્ચો છો, તે જ તમને પૂર્ણતા આપે છે. ભક્તિમાં પણ એવું જ છે. તમે ભગવાનને શું અર્પણ કરો છો એ મહત્વનું નથી, પણ કયા ભાવથી અર્પણ કરો છો એ મુખ્ય છે.”
વાતોનો આ મર્મ હવે વધુ ગહન બનતો ગયો. અભિજિતે સમજાવ્યું કે નાના રાજકુમારની જેમ તે પણ એક ગ્રહથી બીજા ગ્રહ એટલે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં મુસાફરી કરી રહ્યો છે. તેણે અજીતને કહ્યું, “જુઓ, આ રણ સુંદર છે કારણ કે તે ક્યાંક ને ક્યાંક મીઠા પાણીનો કૂવો છુપાવીને બેઠું છે. મનુષ્યનું શરીર પણ એક રણ છે, અને હૃદયમાં રહેલો પ્રેમ એ મીઠા પાણીનો કૂવો છે. પણ લોકો બહારના ઝાંઝવાના જળ પાછળ દોડે છે.”
અજીતની આંખો હવે ભીની થવા લાગી હતી. તેને સમજાયું કે તે જે જ્ઞાન અને તર્કના અહંકારમાં રાચતો હતો, તે કેટલું ખોખલું હતું. તેણે પૂછ્યું, “તો શું મારે પણ આ રૂક્ષ્મણી જેવા પુષ્પની શોધ કરવી જોઈએ?”
અભિજિતે કહ્યું, “પુષ્પ શોધવાનું નથી હોતું, તેને ખીલવવાનું હોય છે. તમારા ભીતર જે કરુણા છે, જે નિઃસ્વાર્થ સેવા છે, તે જ તમારું પુષ્પ છે. જ્યારે તમે કોઈ અજાણ્યા માટે આંસુ પાડો છો, જ્યારે તમે કોઈ ભૂખ્યાને પોતાનો રોટલો આપો છો, ત્યારે તમે નામદેવ બનો છો. જ્યારે તમે જગતના ઘોંઘાટમાં પણ ઈશ્વરનો સાદ સાંભળો છો, ત્યારે તમે નિરુપમા બનો છો.”
સમય સરકતો રહ્યો. આકાશમાં તારા ખીલી ઊઠ્યા હતા. અભિજિતે પોતાની વિદાયનો સંકેત આપ્યો. તે પોતાની દુનિયામાં પાછો ફરવાનો હતો, જ્યાં તેનું રૂક્ષ્મણી પુષ્પ તેની રાહ જોઈ રહ્યું હતું. અજીત ગભરાઈ ગયો. તેને લાગ્યું કે તે ફરી એકલો પડી જશે.
અભિજિતે તેને ગળે લગાવતા છેલ્લો મંત્ર આપ્યો, “યાદ રાખજે અજીત, સૌથી કિંમતી વસ્તુઓ આંખોથી દેખાતી નથી. તે હૃદયના સ્પર્શથી અનુભવાય છે. જ્યારે તું રાત્રે એકચિત્તે તપની મુદ્રામાં ધ્યાન ધરી આકાશ સામે જોઈશ, ત્યારે તને બધા તારામાં મારું સ્મિત દેખાશે. અને જ્યારે તું તારા હૃદયના ઊંડાણમાં ઊતરીશ, ત્યારે તને ત્યાં તારો પોતાનો ‘વિઠ્ઠલ’ મળશે. ભક્તિ એટલે વિયોગમાં પણ મિલનનો અનુભવ.”
અભિજિત ધીમે ધીમે તેજપુંજમાં વિલીન થઈ ગયો. રણમાં હવે અજીત એકલો હતો, પણ તેનું એકલવાયાપણું હવે શૂન્યતા નહીં, પણ એક દિવ્ય ભક્તિથી ભરેલું હતું. તેણે જોયું કે રણની રેતીમાં પણ હવે નાના નાના અંકુર ફૂટી રહ્યાં હતાં. તેને સમજાઈ ગયું હતું કે સમર્પણ એ દુનિયાનો સૌથી મોટો ચમત્કાર છે.
દરેક મનુષ્ય એક રાજકુમાર છે, જે પોતાની રૂક્ષ્મણી એટલે કે પોતાનાં આંતરિક શાંતિ અને પ્રેમની શોધમાં ભટકે છે અને જે દિવસે તે અહંકાર છોડીને ભક્તિના માર્ગે ડગ માંડે છે, તે દિવસે આખું બ્રહ્માંડ તેની સાથે સંવાદ કરવા લાગે છે. નામદેવ, નિરુપમા અને પુરંદરના પાત્રો દ્વારા અજીતને જે સત્ય સમજાયું તે એ હતું કે, જીવન એ માત્ર જીવવાની પ્રક્રિયા નથી, પણ પરમાત્માના ચરણોમાં એક સુગંધિત પુષ્પ બનીને અર્પણ થઈ જવાની કળા છે.
રણની એ રાત શાંત હતી, પણ અજીતના હૃદયમાં ભક્તિના અનેક સૂર ગુંજી રહ્યા હતા. તેણે રણની રેતીમાં નતમસ્તક થઈને પ્રણામ કર્યા, કારણ કે હવે તેને રેતીના દરેક કણમાં તેના આરાધ્ય દેખાઈ રહ્યા હતા.
-
લહેરાતો જા | હું
લહેરાતો જા
-રક્ષા શુક્લ
ઊંચે ઊંચે ઉર્ધ્વ ગગનમાં લહેર લહેર લહેરાતો જા.
તું યશગાથા, તું મુક્તિ અને તું ત્રિરંગ તાલે ગાતો જા.તું કેસરવર્ણી કાયાથી હુંકાર કરે કે રણબંકાઓ દિવસ-રાત અહીં જાગે છે,
જ્યાં સારનાથનો સાવજ ગર્જી કરે ત્રાડ તો દિશા થરથરે, દુશ્મન દોડી ભાગે છે.તું બલિદાન, તું શૌર્ય અને તું ત્યાગ મહીં મદમાતો જા.
ઊંચે ઊંચે ઉર્ધ્વ ગગનમાં લહેર લહેર લહેરાતો જા.તું શુભ્ર, શ્વેત ઉજ્જ્વળતા ઓઢી, સતની કેડી કંડારીને સૂર્ય સમું અજવાળે છે,
ગાંધીની ખાદી અંગ લપેટી, સહજ સાદગી, પુનિત પ્રેમથી દ્વેષ-કટુતા ચાળે છે.તું શુદ્ધ સમર્પણ, શાંત સરવરે મલયાનિલમાં ન્હાતો જા.
ઊંચે ઊંચે ઉર્ધ્વ ગગનમાં લહેર લહેર લહેરાતો જા.તું છમ્મલીલું જો કરે સ્મિત ત્યાં મ્હેક મ્હેક માટી થઈ માતૃભૂમિને પણ શણગારે છે,
સૌ ધર્મચક્ર લઈ નવી દિશાએ નવા ગુંથીશું ગાન પછી ખુશહાલી દ્વારે દ્વારે છે.તું હરિયાળી, ગતિશીલ કર્મ, ગૌરવ ઉન્નત, હરખાતો જા.
ઊંચે ઊંચે ઉર્ધ્વ ગગનમાં લહેર લહેર લહેરાતો જા.હું
– –રક્ષા શુક્લ
અશ્વ હું, અસવાર હું.
સારથી ને સાર હું.પાંચ. તોયે પાંગળી,
હાર હું, વ્યાપાર હું.દ્વારિકા મનની મળે,
હું સુબો, સરકાર હું.કેદ પથ્થરની ચણો,
બે મિનીટમાં બ્હાર હું.મૌન માથું ઊચકે,
ત્યાં બનું હુંકાર હું.જ્યાં ઢળી, ઢળતી રહી,
ક્યાં હતી આકાર હું !મા બની હું થનગનું,
છું નવે અવતાર હું. -
વાદ્યવિશેષ : (૪૫) – તાલવાદ્યો (૧૦) – ઘટમ/મટકા
ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

પરંપરાગત તાલવાદ્યો કરતાં ખાસ્સી અલગ રચના ધરાવતું આ વાદ્ય ખાસ કરીને દક્ષિણ ભારત અને તેમાં પણ કર્ણાટક વિસ્તારમાં ખુબ જ પ્રચલિત છે. આ બાજુના સંગીતકારો તેનો ઉપયોગ શાસ્ત્રીય ગાયન-વાદન સાથે સંગત કરવામાં તો કરે જ છે, તે ઉપરાંત ઘટમનું એકલ તાલવાદન પણ ખુબ જ લોકપ્રિય છે. દેશના અન્ય વિસ્તારોમાં પણ ઘટમનો ઓછોવત્તો ઉપયોગ થતો રહે છે પણ, તે એક લોકતાલવાદ્ય તરીકે જાણીતું છે. ઉપર તસવીરમાં જોઈ શકાય છે તેમ પીવા માટેનું પાણી ભરવા માટે વપરાતા માટીના ગોળા/ઘડા/મટકાનો જ ઉપયોગ એક તાલવાદ્ય તરીકે કરવામાં આવે છે. આથી તેને ઘટમ અથવા મટકા તરીકે ઓળખવામાં આવે છે. એક સમયે ગુજરાત અને રાજસ્થાનના કિર્તનકારો માટીની જગ્યાએ તાંબા (ક્યારેક પીત્તળ) જેવી ધાતુના ઉપયોગથી બનેલી આવા જ પ્રકારની માણ તરીકે જાણીતી રચનાનો સાથ લેતા હતા. હવે આવા કલાકારો જૂજ પ્રમાણમાં જોવા મળે છે.
ઘટમની રચના અન્ય તાલવાદ્યો કરતાં એ રીતે અલગ પડે છે કે માટી વડે બનતી આ રચનાના ખુલ્લા ભાગ પર કોઈ આવરણ હોતું નથી. જરૂર પ્રમાણે તેને ખુલ્લો રાખીને અથવા થોડોઘણો ઢાંકી દઈને અપેક્ષિત નાદ નિષ્પન્ન કરી શકાય છે. એક આ વાદ્યનો અપવાદ બાદ કરતાં અન્ય બધાંજ તાલવાદ્યોમાં એક અથવા બે છેડા ચામડાથી અથવા પ્લાસ્ટીક જેવી રચનાથી બંધ કરાયેલા હોય છે. આમ, મટકાનો અવાજ એકદમ અનોખો હોય છે. તેને વગાડવાની પદ્ધતિ અને તેના નાદના અવાજ બાબતે કંજુમ નામના એક દક્ષિણ ભારતીય કલાકારના ઘટમવાદનની ક્લિપ થકી ખ્યાલ આવશે. મટકા કે ઘટમથી નિષ્પન્ન થતો નાદ સહેલાઈથી પારખી શકાય છે, કેમ કે એમાં અનુનાદિય સ્વર (Resonance) સાવ ઓછો હોય છે. મોટા ભાગે તેમાં ઊંડાણ (કે આવર્તન) હોતું નથી. ઊંડાણ માતે તેના મોંના ખુલ્લા ભાગ પરથી અસર પેદા કરવામાં આવે છે.
હવે આગળ વધીએ ઘટમના તાલ ધરાવતાં કેટલાંક હિન્દી ફિલ્મોનાં ગીતો તરફ. હિન્દી ફિલ્મી ગીતોમાં આ તાલવાદ્યનો ઉપયોગ અનેક સંગીતકારોએ કરેલો છે. તે એટલો સાહજિક બની રહ્યો છે કે મોટા ભાગના કિસ્સામાં એ તરફ ધ્યાન પણ ન જાય. ખાસ કરીને સંગીતકાર બેલડી હૂશ્નલાલ-ભગતરામનાં ઘણાં ગીતોમાં તેનો ઉપયોગ સાંભળી શકાય છે.
૧૯૪૯ના વર્ષમાં રજૂ થયેલી ફિલ્મ લાહોરના ગીત ‘બહારેં ફીર ભી આયેગી’ના વાદ્યવૃંદમાં તાલવાદ્ય તરીકે ઘટમનો ઉપયોગ થાયો છે. આ ફિલ્મ માટે શ્યામસુંદર નામના સંગીતકારે ગીતો તૈયાર કર્યાં હતાં.
ફિલ્મ બડી બહન (૧૯૪૯)માં હૂશ્નલાલ-ભગતરામનું સંગીત હતું. તેના ગીત ‘વો પાસ રહે યા દૂર રહે’ સાથે ગીતની શરૂઆતથી જ ઘટમના નાદ કાને પડતા રહે છે.
૧૯૪૯ની સાલમાં જ પરદા પર આવેલી ફિલ્મ ‘અંદાઝ’નાં સંગીતકાર નૌશાદના નિર્દેશનમાં બનેલાં ગીતો આજે સાડાસાત દાયકા પછી પણ ખુબ જ લોકપ્રિય બની રહ્યાં છે. તે પૈકીના ગીત ‘તૂ કહે અગર જીવનભર’માં ઘટમના તાલ સ્પષ્ટપણે સાંભળી શકાય છે. નોંધનીય છે કે પિયાનો જેવા પાશ્ચાત્ય વાદ્ય સાથે ઘટમનો સમાવેશ થયો છે.
હવે માણીએ એક વધુ ઘટમપ્રધાન ગીત. ફિલ્મ આશીયાના (૧૯૫૨)ના મદનમોહનના સ્વરનિર્દેશનમાં બનેલા ગીત ‘મૈં પાગલ મેરા મનવા પાગલ’ સાથે ઘટમના તાલની સંગત છે.
https://youtu.be/wZBoaazU7w4?si=evtxOxI6iXmEeim7
૧૯૫૨ના વર્ષમાં જ રજૂ થયેલી ફિલ્મ બૈજુ બાવરા માટે નૌશાદે સ્વરબદ્ધ કરેલાં ગીતોએ ફિલ્મની સફળતામાં સિંહફાળો આપ્યો હતો. તેમાંનું એક ગીત ’દૂર કોઈ ગાયે ધૂન યે સૂનાયે’ સાંભળીએ, સંગત કરતાં તાલવાદ્યોમાં ઘટમનો પણ સમાવેશ થયો છે. ગીતની શરૂઆતમાં જ યુવતીઓ ઘડો લઈને નૃત્ય કરી રહેલી જોઈ શકાય છે અને સાથેસાથે ઘટમ પર વાગી રહેલા તાલનાદ પણ સંભળાય છે.
ફિલ્મ આહ (૧૯૫૩)નું ગીત ‘યે શામ કી તનહાઈયાં’ માણતાં જ ખ્યાલ આવે છે કે તેની સાથે તાલવાદ્ય તરીકે ઘટમનો ઉપયોગ થયો છે. સંગીત શંકર-જયકિશનનું છે.
૧૯૫૩ના વર્ષની ફિલ્મ નગ્મા માટે નાશાદ નામના પ્રમાણમાં અલ્પજ્ઞાત સંગીતકારે ગીતો બનાવ્યાં હતાં. નોંધનીય છે કે કેટલાક સિનેરસિકો તેમને સુખ્યાત સંગીતકાર નૌશાદ માની બેસે છે. હકીકતે આ સ્વરકારનું મૂળ નામ શૌકત અલી હતું, પણ ફિલ્મી આલમમાં તેમણે નાશાદ નામથી કેટલીક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. ઉક્ત ફિલ્મના ગીત ‘ઓ તીર ચલાનેવાલે જરા’ સાથે ઘટમના નાદ પ્રયોજાયા છે.
ફિલ્મ બાગી (૧૯૫૩)ના ગીત ‘હમારે બાદ અબ મહેફીલ મેં અફસાને બયાં હોંગે’ સાથે ઘટમના તાલનો પ્રભાવક પ્રયોગ થયો છે. આ ફિલ્મના સંગીતકાર હતા મદનમોહન.
ફિલ્મ શર્ત (૧૯૫૪) માટે હેમંતકુમારના નિર્દેશનમાં તૈયાર થયેલું ગીત ‘મેરી તકદીર કે માલિક’ ઘટમના તાલ વડે સજાવાયું છે.
સંગીતકાર નાશાદ(નૌશાદ નહીં!)નું સ્વરબદ્ધ કરેલું વધુ એક ગીત સાંભળીએ. ફિલ્મ બારાદરી(૧૯૫૫)નું ગીત ‘તસવીર બનાતા હૂં’ ઘટમાના નાદ વડે સભર તાલ ધરાવે છે.
૧૯૫૭માં રજૂ થયેલી ફિલ્મ અબ દિલ્લી દૂર નહીંનું ગીત ‘ભેજ છનાછન ખુબ રુપૈયા’ કાને પડતાં જ તેના સંગાથમાં ઘટમના નાદ પારખી શકાય છે. પરદા પર ગાયક સાથે સાથે ઘટમ વગાડતા જોઈ શકાય છે. ઉપાર જણાવ્યું છે તેમ અહીં ઘટમનો ખુલ્લો ભાગ તેને ઉંધું પાડીને શક્ય એટલો ઢાંકી દેવાયો છે, પરિણામે વિશિષ્ટ નાદ ઉત્પન્ન થયેલો સાંભળી શકાય છે.
ફિલ્મ માલિક (૧૯૫૮)ના ગીત ‘મન ધીરે ધીરે ગાય રે’ માં ઘટમના તાલનું પ્રાધાન્ય માણી શકાય છે. આ ફિલ્મમાં ગુલામ મહમ્મદનું સંગીત હતું.
૧૯૫૮ના વર્ષમાં જ રજૂ થયેલી ફિલ્મ મધુમતીની સાફળતામાં સલિલ ચૌધરીએ સર્જેલાં તેનાં એક કરતાં એક ચડીયાતાં ગીતોએ મોટો ભાગ ભજવ્યો હતો. એ પૈકીના ગીત ‘તૂટે હૂએ ખ્વાબોં ને’ ના વાદ્યવૃંદમાં ઘટમના તાલ સંભળાય છે.
https://youtu.be/TEQitO44FJU?si=WDaQP1bFFMaDVKfR
હવે એક વિશિષ્ટ ક્લિપ માણીએ, લાક્ષણિક રાજસ્થાની ગ્રામ્ય વિસ્તારની પનિહારીઓ અલગઅલગ પ્રકારના ઘડા સાથે પાણી ભરવા નીકળી હોય એવા દૃશ્યમાં ફિલ્મ દો બૂંદ પાની(૧૯૭૧)નું ગીત ‘પીત્તલ કી મોરી ગાગરી’ ચિત્રાંકિત થયું છે. ગીતની દૃશ્યાવલીને અનુરૂપ ઘટમાના તાલ પ્રયોજાયા છે. આ ફિલ્મમાં જયદેવનું સંગીત હતું.
ફિલ્મ જવાની દિવાની(૧૯૭૨) માટે રાહુલદેવ બર્મને પ્રયોગશીલ સંગીત તૈયાર કર્યું હતું. તેના ગીત ‘સામને યે કૌન આયા’ના વાદ્યવૃંદમાં મોટા ભાગે બોંગો અને કોંગો જેવાં પાશ્ચાત્ય તાલવાદ્યોનો ઉપયોગ થયો છે, પણ સમયસમયે ઘટમના નાદ પણ કાને પડતા રહે છે. આ ગીતમાં બહુ વિશિષ્ટ રીતે મટકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે મટકાની દિવાલ પર આંગળીઓ વડે વાદન કરી, તાલ નિપજાવવામાં આવે છે. તેને બદલે અહીં તેના ખુલ્લા ભાગનો ઉપયોગ કરી, ઊંડાણવાળો અને ઘેરો તાલ પ્રયોજાયો છે. પહેલાં મૂળ ગીતમાં એ સાંભળીએ.
હવે એક લાઈવ શોની ક્લિપ માણવાથી મૂળ મટકામાં શા ફેરફાર કરાયા અને તેનું પરિણામ કેવું આવ્યું તે સમજી શકાશે.
આ કડીની આખરમાં ૧૯૮૩ની ફિલ્મ હીંમતવાલાનું એક નૃત્યગીત માણીએ. બપ્પી લાહીરીના સંગીતનિર્દેશનમાં બનેલા આ ગીત સાથે તાલવાદ્ય તરીકે ઘટમનો ધ્યાનાકર્ષક ઉપયોગ થયો છે. નૃત્યના ફિલ્માંકન પર નજર નાખતાં ખ્યાલ આવે છે કે મંચસજાવટમાં ઉતરડ (ઘડાઓની લંબ દિશાએ ગોઠવણી) કરવામાં આવી છે અને તેને ધ્યાને લઈને સંગીતકારે તાલવાદ્ય તરીકે ઘટમનો ઉપયોગ કર્યો છે.
https://www.youtube.com/watch?v=-ix62x0XfHk&list=RD-ix62x0XfHk&start_radio=1
આજે અહીં અટકીએ, આવતી કડીમાં અન્ય તાલવાદ્ય સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
મેરી તરહ તૂ આહેં ભરે
ધિક્કારનાં ગીતો
હું દુઃખી થયો તેમ તું પણ દુઃખી થા એવી ઇચ્છા થવી સ્વાભાવિક તો છે, પણ…
દીપક સોલિયા
છંછેડાયેલો પ્રેમી જો પ્રેમિકાની હત્યા કરે કે ચહેરા પર એસિડ ફેંકે તો એ મહાનરાધમ આકરી સજાને જ લાયક છે, પરંતુ આટલી હદે ન જવા છતાં કોઈ પ્રેમી જો પ્રેમિકાને જાહેરમાં બદનામ કરે, સોશિયલ મીડિયામાં પ્રેમિકાની છાપ ખરડવા માટે ઉધામા મચાવે તો એ પણ નરાધમતાનો જ એક પ્રકાર ગણાય અને એ અપરાધ બદલ પણ એને સજા જ થવી જોઈએ.
આવા અપરાધને ગ્લોરિફાઈ ન જ કરવો જોઈએ. છતાં, હિન્દી ફિલ્મોમાં એવાં અનેક ગીતો છે જે બિનધાસ્ત આવા અપરાધને એટલે કે પ્રેમિકાની આબરુના ધજાગરા ઉડાડવાની ચેષ્ટાને જાણે પ્રોત્સાહન આપતાં હોય. આવું પેલું એક ગીત તમે સાંભળ્યું હશેઃ
મેરે મહબૂબ કયામત હોગી
આજ રુસવા તેરી ગલિયોં મેં મહોબ્બત હોગીઆ ગીત ફિલ્મ મિ. એક્સ ઇન બૉમ્બે નામની ફિલ્મનું છે. ફિલ્મમાં હીરો પણ કિશોર કુમાર છે અને આ ગીતને સ્વર પણ નેચરલી કિશોરે જ આપ્યો છે. શબ્દો પર ઝાઝું ધ્યાન આપ્યા વિના સાંભળો તો ગીત બહુ મજાનું લાગે એવું છે. લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત પ્યારું છે. આ ફિલ્મ તો બહુ નહોતી ચાલેલી, પણ તેનું આ ગીત એટલું બધું ચાલ્યું કે ફિલ્મ રીલિઝ થયાના ૫૮ વર્ષ પછી આજે પણ કિશોરના ઓલટાઈમ ગ્રેટ ગીતોની વાત નીકળે ત્યારે ઘણાં લોકોને આ ગીત યાદ આવી શકે.
ગીતમાં પ્રેમિકાને સંબોધીને એવું કહેવાયું છે કે આજે તારી ગલીમાં પ્રેમ બદનામ થશે, પણ ફિલ્મમાં હીરો આ ગીત પ્રેમિકાની ગલીમાં નથી ગાતો. એ તો ગલીથી પણ વધુ જાહેર, સરેઆમ, છેડેચોક એવું એક સ્થળ પસંદ કરે છે. એ સ્થળ આખા ભારતના ટોચના પર્યટન સ્થળમાંનું એક છે. એ છે, મુંબઈનું ગેટવે ઓફ ઇન્ડિયા. ગેટવે પાસે મોટો ચોક છે. સામે તાજ હોટેલ છે. આવા અતિ જાહેર સ્થળે કિશોર કુમાર લલકારે છેઃ
તેરી ગલી મેં આતા સનમ
નગમા વફા કા ગાતા સનમ
તુઝસે સુના ના જાતા સનમ
ફિર આજ ઇધર આયા હૂં મગર
યે કહને મૈં દીવાના
ખત્મ બસ આજ યે વહશત હોગીવાત જરા ગંભીર છે. પ્રેમી અસલમાં આપઘાતની ધમકી ઉચ્ચારી રહ્યો છે. એ કહે છે કે આમ તો તારી ગલીમાં આવીને હું આવી રીતે ગાઉં તો તું એ સાંભળી શકે તેમ નથી, પણ આજે હું અહીં એ કહેવા આવ્યો છું કે મારી વહશત (જંગલીપણું, ગાંડપણ) ખતમ થવાનું છે એટલે કે હું મરી જવાનો છું.
ગીતના અન્ય એક અંતરામાં પણ આપઘાતનો સ્પષ્ટ ઇશારો છેઃ
મેરે સનમ કે દર સે અગર
બાદ-એ-સબા હો તેરા ગુઝર
કહના સિતમગર કુછ હૈ ખબર
તેરા નામ લિયા, જબ તક ભી જિયા
એ શમા તેરા પરવાના
જિસસે અબ તક તુઝે નફરત હોગીકાલીદાસના નાયકે મેઘને દૂત બનાવેલો એમ અહીં ગીતકાર આનંદ બક્ષીએ સવારની હવા (બાદ-એ-સબા)ને દૂત બનાવીને પ્રેમિકાને મેસેજ મોકલવાની વાત કરી છે. મેસેજ એવો છે કે હે જુલમી પ્રેમિકા, શું તને ખબર છે કે તું જેને નફરત કરી રહી છે એવો તારો દીવાનો-પરવાનો જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી તારું જ નામ લેતો રહેલો.
જ્યાં સુધી પણ જીવ્યો (જબ તક ભી જિયા)નો મતલબ એવો થાય કે હવે એ જીવિત નથી. એ મરી ચૂક્યો છે. ફિલ્મની કથામાં તો એવું પણ છે કે હીરો માત્ર ગાઈને જ નહીં, નક્કર ચિઠ્ઠી લખીને પણ હિરોઈનને જણાવે છે કે હું આપઘાત કરી રહ્યો છું.
આ વળી પાછો એક જુદો અને ઘણો મોટો જુલમ છે કે પ્રેમિકા સાથે મિલન ન થાય એટલે મરી જવાનું, કે પછી મરી જવાની ધમકીઓ આપીને પેલી પર ત્રાસ ગુજારવાનો.
ખેર, મોતની ધમકીઓ હીરો અમલમાં મુકે છે કે નહીં એ તો મન થાય તો ફિલ્મ જોઈને કે એ વિશે નેટ પર વાંચીને જાતે જાણી લેજો. ફિલ્મની વાર્તા આપણો મુદ્દો નથી. આપણો મુદ્દો છે આ ગીત. ગીતનો આ અંતરો જુઓઃ
મેરી તરહ તૂ આહેં ભરે
તૂ ભી કિસી સે પ્યાર કરે
ઔર રહે વો તુઝસે પરે
તૂને ઓ સનમ ઢાયે હૈં સિતમ
તો યે તૂ ભૂલ ના જાના
કે ના તુઝપે ભી ઇનાયત હોગીઅર્થાત્, હું ઇચ્છું છું કે મારા પછી તું બીજા કોઈના પ્રેમમાં પડે. પછી પેલો તને તરછોડે, તારાથી દૂર રહે. મારા પર સિતમ ગુજારનાર હે નારી, તું યાદ રાખજે કે ના તુઝપે ભી ઇનાયત હોગી. તારા પર પણ કોઈ રહેમ-કૃપા-ઇનાયત નહીં થાય. તારું પણ આવી બનશે. તારી પણ વાટ લાગશે.
ઘણા લોકો કોઈ દેવ ફળે ત્યારે એવું કહેતાં હોય છે કે દેવ જેવા મને ફળ્યા એવા તમને પણ ફળો. આ ગીતમાં તેનાથી ઊંધું છે. પ્રેમના દેવતા જેમ મને નડ્યા તેમ તને પણ નડો. નિર્ભેળ બદદુઆનો આ મામલો છે. અને છતાં તમે આ ગીતનું ફિલ્માંકન જુઓ તો લાગે કે આ બધી બદદુઆ દેતી વખતે હીરો જાણે થોડો ખુશ છે. એના ચહેરા પર જાણે એક સ્મિત રમી રહ્યું છે. પોતાની હૈયાવરાળ વ્યક્ત કરવાથી એને જાણે સારું લાગી રહ્યું છે.
https://youtu.be/MCRfiK53mpE?si=2–5WJj1d8byqU5B
માત્ર હીરોને જ નહીં, શ્રોતાઓને પણ આ ગીત સાંભળીને એક સુખદ પ્રકારની લાગણી થતી હોય છે. આવું શાને થાય છે? આ ગીતમાં એક જબરી અપીલ શા માટે છે? ગીતની પ્રચંડ લોકપ્રિયતાનું રહસ્ય શું છે?
એ રહસ્ય છે આત્મદયા, સેલ્ફ પિટી…
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
-
આર્યનનો રોબોટ
લતા હિરાણી
આર્યન બેઠો હતો સ્ટૂલ પર ને કૂદીને પડ્યો એની મમ્મીના ખોળામાં….
ના, ના, ધરતીકંપ કે એવું કશું નહીં ભાઈ, આ તો વાત એમ હતી કે આર્યનના દાદાજી અમેરિકા જઈને આવ્યા હતા. એમણે ઘરમાં આવતાંવેંત બેગ લાવવા કહ્યું પણ પપ્પા કહે, ‘ના તમે બહુ થાક્યા છો એટલે હમણાં સૂઈ જાવ. પછી બધું બતાવજો.’
દાદાજી ખરેખર બહુ થાક્યા હતા એટલે લાંબી ઊંઘ થઈ ગઈ. આર્યને એટલી વાર મહા મુશ્કેલીથી ધીરજ રાખી. વારેવારે એમના રૂમ પાસે જઈને તપાસી લેતો, દાદાજી જાગ્યા કે નહીં !
દાદાજી જાગ્યા, નાહ્યા, ફ્રેશ થયા, બધાંએ સાથે નાસ્તો કર્યો. જો કે આર્યનભાઈને નાસ્તો કરવામાં જરાય રસ નહોતો… નાસ્તો કરવા બેસવાની વાત આવી ત્યારે આર્યનનું નાકનું ટીચકું જરા ઊંચું થયું, આંખો ઝીણી ને કપાળ પર કરચલીઓ…… “અરે ય્યા..ર…”
મૂળે ભાઈને ઇંતેજારી એ હતી કે દાદાજી મારા માટે શું લાવ્યા છે? બસ, પછી બધાને જે કરવું હોય એ કરે ! દાદાજી અમસ્તાયે ક્યાંક જતા તો આર્યન માટે કંઈક લાવતા જ ને આ તો અમેરિકા!
દાદાજીની મોટીમસ બેગ ખુલી. આર્યન સ્ટૂલ પરથી ઊભો થઈ ગયો.
“આર્યન…. બેસી જા બેટા”. પપ્પાએ એને ખોળામાં લેવા ટ્રાય કરી॰
“વાંધો નહીં, એને આવવા દે” દાદાજી હંમેશા બાળકોના પક્ષમાં રહેતા અને બાળકો હંમેશા એમનું કહ્યું માનતા પણ પપ્પાને મસ્તી સૂઝી. એમણે ફરી આર્યનને ખેંચ્યો.
”આર્યન આવી જા બચ્ચા !”
અને આર્યન મમ્મીના ખોળામાં ઘુસી ગયો.
બેગમાં દાદાજીનો હાથ ગયો. બધાંને ખબર હતી કે પહેલી ચીજ આર્યનની નીકળશે. બેગમાંથી નીકળ્યું એક મોટું ખોખું ! ‘અરે, આવડું મોટું રમકડું !’ આર્યનનો ચહેરો હસું હસું થઈ રહ્યો. ખોળામાં એ ઉભડક તો થઈ જ ગયો પણ હવે દાદાજીએ સસ્પેન્સ ક્રીએટ કર્યું.
“બોલ, શું હશે આમાં?
“તમે જ કહો ને દાદાજી”
“જરા કલ્પના તો કર બેટા…’
“અ…… નથી ખબર પડતી દાદાજી … પ્લીઝ કહી દો ને!”“તને કલ્પના જ ન આવે એવું છે, બોલ!”
“દાદાજી પ્લી….ઝ…..” કહેતાં આર્યન હવે ઊભો થઈ જ ગયો.
દાદાજીને થયું હવે આપી જ દઉં.. મારા નાનકડા બચ્ચાએ બહુ રાહ જોઈ! એમણે પેકેટ ખોલ્યું.
આહા! અંદર શું હતું ? હવે આર્યનને ખબર પડી ગઈ.. એ જોરથી બૂમ પાડી ઊઠ્યો,
”રોબોટ…”
હરખમાં એનાથી મોટો જમ્પ પણ લગાવાી ગયો ને…..
આર્યનનો રોબોટ જોઈ બધાં ખુશ થઈ ગયા.
દેખાવમાં રોબોટ માણસ કમ રમકડા જેવો લાગતો હતો. આખું પીળા કલરનું બોડી હતું.
“મમ્મી, આ એના કાન કેવા ફની છે નહીં?”
“લાંબા તો ખરા પણ બેય કાન જાણે પેલા રિક્ષાવાળાના ‘ભોંપુ’ હોર્ન હોય એવા છે!”
“બાળકોને મજા આવે એવા જ રમકડાં હોય ને બેટા!”
“તે હેં દાદાજી, આ કાનથી રોબોટ સાંભળે ખરો?”
”ચોક્કસ સાંભળે, પણ તારું ગુજરાતી નહીં, એને શીખવ્યું હોય એવું અંગ્રેજી તું બોલ તો સાંભળે અને એ બોલેય એવું જ!!” કહેતાં દાદાજીએ રોબોટની પાછળનું એક બટન દબાવ્યું.
“હાય ફ્રેન્ડ, હેવ અ ગુડ ડે….વ્હોટ કેન આઇ ડુ ફોર યુ?”
“લે આ તારો રોબોટ તો ચાલુ થઈ ગયો…”
આર્યન એ બટન શોધવા લાગ્યો.
“હવે તારે નિરાંત હો આર્યન, આ બચ્ચું તારું બધું કામ કરી દેશે.” માએ કહ્યું
“પણ એને સમજાય એવું અમેરિકન ઉચ્ચારોવાળું ઇંગ્લીશ કોને આવડે છે ” મા હવે પલાંઠી વાળીને બેસી જ ગયા હતા. એનેય મજા પડી ગઈ હતી.
“એમ કર મા, તું એવું ઇંગ્લીશ શીખી જા. પછી તારું કામેય કરી દેશે. આમેય તારે બહુ કામ હોય છે ને? તારો આ એક આસિસ્ટંટ!” પપ્પાએ ટમકું મૂક્યું
“તો મારું શું?” મમ્મી બોલી
“દાદાજી રોબોટ મારા માટે લાવ્યા છે કે તમારા બધા માટે?”“ના બેટા, આ તારા માટે જ છે. મારે વળી રોબોટનું કંઈ કામ નથી. નિસર્ગ, તું આર્યનને ચીડવ મા.” માને આર્યનની ખુશી જરાય ઓછી થવા દેવી નહોતી.
દાદાજીએ સમજાવવાનું ચાલુ કર્યું, “રોબોટનું શરીર માણસ જેવું અને એની અંદર નાનું કમ્પ્યુટર ફીટ કરેલું હોય જે બધી સુચનાઓનો અમલ કરે. આ રોબોટના થોડાક ફંકશન છે ખરા. જો, એ તાળી પાડશે, હસશે, હાથ લાંબો કરીને શેકહેન્ડ કરશે ને જરા ડાન્સ પણ કરશે.”
”સાચે જ દાદાજી, “આ બધું બતાવો ને !!” આર્યનની ધીરજ નહોતી રહેતી.
દાદાજીએ એક પછી એક ફંકશન બતાવ્યા.
“આ રોબોટ તો રમકડું છે. બાકી ઘરના ઘણાં કામો કરે એવા મોટા રોબોટ પણ આવે.”
“એ શું શું કરે દાદાજી?”
“ઘરની સફાઈ કરે, લૉન કાપે, ફર્શ ધોઈ નાખે, અરે છાપું વાંચીનેય સંભળાવે! એ તારી મમ્મીને મદદ કરે! પરદેશમાં ઇંડસ્ટ્રીઝમાં રોબોટ ખાસ વપરાય. જે કામ બહુ ઝીણવટ માગી લે કે એકધારા કરવાના હોય કે જેમાં રિસ્ક બહુ હોય એવાં કામોમાં રોબોટ મુકાય.”
“સારું જ પડે ને દાદાજી, રોબોટ ન પગાર માગે, ન થાકે, ન કંટાળે કે ન રજા પાડે! પછી ધીમે ધીમે એ માણસોને નવરા કરી દેશે!” આર્યને રોબોટ વિશે વાંચ્યુ હતું.
“તારી વાત સાચી છે પણ એ પણ દિવસો હજી દૂર છે.”
“હવે મને રમવા દો” કહીને આર્યને બધી કળ જાણી લીધી અને જાતે એક પછી એક ફંકશન કરાવતો ગયો..
આર્યન રોબોટને પોતાના રૂમમાં લઈ ગયો. હવે આજે એને રોબોટ સિવાય કશું સુઝતું નહોતું. એનો આજે ‘રોબોટ ડે’ થઈ ગયો.
સાંજે પાર્થકાકા અને વિશાખાકાકી આર્યનનો રોબોટ જોવા આવ્યા.
“હવે મારેય અમેરિકાથી એક રોબોટ મંગાવવો છે. એણે આટલું કામ કરવાનું કે સવારમાં મને પથારીમાંથી ઉંચકી ખુરશીમાં બેસાડી દે. હું ઊંઘ્યા કરું ને એ બ્રશ કરી દે, મારા દાંત સાફ કરી દે. પછી મને ઊંચકીને બાથરૂમમાં મુકી શાવર ચાલુ કરી દે. એટલે ત્યાં સુધી મને ઊંઘવા મળે અને એકવાર શાવર લઈ લઉં પછી બધું કામ કરવા માંડુ !!” પાર્થકાકાએ સિક્સર મારી ને બધા ખડખડાટ હસી પડ્યા.
“તમે તો ખરા છો કાકા, કંઈ બ્રશ કરી દે એવો રોબોટ આવતો હશે!”
“આવશે આવશે, તારા જેવા છોકરાઓ જ એની શોધ કરશે…” દાદાજીએ કહ્યું
“અને મારે એવો રોબોટ જોઈએ જે બહુ ટ્રાફિક હોય ત્યારે મારી ગાડીની આગળના ભાગમાં મોટા પાવડાની જેમ બહાર નીકળે અને આગળની ગાડીઓને ઉંચકી ઉંચકીને પાછળ મુકી દે ને મારો રસ્તો સાફ કરી નાખે!” પપ્પાએ બીજી સિક્સર મારી. બધા વળી હસીને ગોટો વળી ગયા.
“તમારા બંને ભાઈઓનું ભેજું જબરું ચાલે છે હોં ! પણ પછી બીજા લોકો તમારી ગાડીનેય એમ જ ઉંચકીને પાછળ મૂકી દેશે એનું શું?” માએ કહ્યું.
“તો તો ‘અલકચલાણું ઓલે ઘેર ભાણું’ની જેમ આટાપાટાની રમત થયા કરે હોં!”
“હવે ગાંડા કાઢવાના બંધ કરો, ચાલો દવાખાને જવું પડશે.” માએ રૂમમાં આવીને કહ્યું.
”કેમ શું થયું?”
”આ જો ને, શ્રીને અછબડા નીકળવાના હોય એમ લાગે છે. લાલ લાલ ફોડલીઓ થવા માંડી છે ને બિચારી ખંજવાળ ખંજવાળ કરે છે.”
સભા બરખાસ્ત થતાં પહેલાં નિસર્ગભાઈએ છેલ્લો છગ્ગો ફટકાર્યો, “એય, ચાલો આપણે તપાસ કરીએ કે આપણે આંખો મીંચીને પડ્યા રહીએ અને આખા શરીરે મજ્જાનું ખંજવાળી આપે એવો રોબોટ મળે કે નહીં !!!”
લતા હિરાણી * ‘બુલબુલ’ (બાળવાર્તાઓ)માંથી * ફ્લેમિંગો પ્રકાશન ૨૦૧૬
-
સદાબહાર સૂર શ્રી અવિનાશ વ્યાસ – ગાય તેનાં ગીત
આલેખનઃ રાજુલ કૌશિક
કવિ-લેખક શ્રી ધ્રુવ ભટ્ટ કહે છે ને કે ગાય તેનાં ગીત……કેવી સરસ વાત! જે લખે તેનાં તો એ ગીતો હોય જ પણ જે ગાય એને પણ સાવ પોતાના લાગે એવા ગીતો કેવા સરળ શબ્દોમાં લખાયા હશે ત્યારે એને સૌ અપનાવી શક્યા હશે?
અવિનાશ વ્યાસના ગીતો આજ સુધી ગવાતા આવ્યા છે અને હંમેશા ગવાતા આવવાના છે કારણ કે એ સહજ અને સરળ શબ્દોમાં લખાયા છે.
દરેક વાચક, શ્રોતાઓનો અલગ અલગ વર્ગ હોય. ક્યાંક કોઈ આધ્યાત્મિક, કોઈ ધાર્મિક તો કોઈ માર્મિક તો કોઈ સામાજિક-પારિવારિક. ત્યારે એવું બને કે એ દરેક ચાહકોને પણ કોઈ નિશ્ચિત લેખક, કવિ, ગીતકારને વાંચવા-સાંભળવા વધુ ગમે. કોઈએક તરફ એમનો ઝોક વધુ હોઈ શકે પરંતુ અવિનાશ વ્યાસ માટે એક સત્ય એવું જોયું છે કે એમની રચનાઓ પ્રત્યેક વાચકોને-શ્રોતાઓને સ્પર્શે છે કારણકે એમની રચનાઓમાં પ્રત્યેકના મન-હૃદયને સ્પર્શે એવું વૈવિધ્ય છે.
એમણે એમની રચનામાં સંબંધોને સાચવ્યા, તહેવારોને ઉજવ્યા છે અને જ્યારે આ બંનેની વાત કરીએ ત્યારે એ આપણને સીધા જ શ્રાવણમાસની સાથે સાંકળી લે.
શ્રાવણ મહિનો સૌનો લાડકો મહિનો. વર્ષ દરમ્યાન આવતા ધાર્મિક કે સામાજિક પ્રસંગોને લઈને એ સૌથી વધુ સમૃદ્ધ જણાશે. આવા આ સમૃદ્ધ શ્રાવણને અવિનાશ વ્યાસે એવી અનેક રચનાઓથી વધુ સમૃદ્ધ કર્યો છે. શ્રાવણ આવે એટલે તો સૌ પહેલાં યાદ આવે સંસારના સૌથી વહાલા સંબંધની. કાચા સૂતરના તાંતણે બંધાયેલો સૌથી વધુ સ્નેહાળ સંબંધ- ભાઈ-બહેનનો.
અવિનાશ વ્યાસની આ એક રચનામાં એનો મહિમા ગવાયો છે. કેવો સરસ યોગાનુયોગ ! આજે રક્ષાબંધન અને આ વહાલસોયા અવસરે એમની આ રચના યાદ આવ્યા વગર રહે?
‘આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઈ ફૂલકેરા હાર, હાલો બંધવાને તાર
આ લાલ-પીળો દોરો’સમસ્ત વિશ્વની બહેનોના હૃદયના ભાવ અવિનાશ વ્યાસના આ ગીતમાં ઠલવાયા છે.
એને તાણેવાણે બાંધુ, બંધુ તને દોરો,
ભાઈ અને બેનની એવી રે સગાઈ કે
જનમો જનમ ના આવે જુદાઈ,
દુઃખનો પડછાયો કદી આવે નહીં ઓરો
આ લાલ-પીળો દોરો…રીમઝીમ રીમઝીમ શ્રાવણની ધાર…
કરે બાંધવ કેરો બેડોપાર,
થઈ રક્ષાબંધન અમરતાર ,
વરસે બહેનીને દ્વાર દ્વાર..બહેનની ભાવના કેટલી ઉદાત્ત? ભલેને એનો ભાઈ વિશ્વના કોઈ પણ ખૂણે કેમ ન હોય, સમસ્ત સંસાર સાથે વહેંચાયેલો કેમ ન હોય પણ એના હૃદયમાં તો ભાઈ માટે સદાય સ્નેહની સરવાણી જ….
એના મનમાં માતાના સ્નેહના ભાગીદાર ભાઈની કે એના પ્રેમમાં ભાગ પડાવનાર ભાભીનીય ઈર્ષ્યા નથી. ભલેને ભાઈ સૌનો થઈને રહેતો પણ બંનેના હૃદયનો એક ખૂણો તો હંમેશાં એકબીજાનાં કલ્યાણ માટે ધબક્યા કરવાનો છે એવો વિશ્વાસ છે. બહેનના ભાવને અવિનાશ વ્યાસે કેટલી સહજતાથી રજૂ કર્યા છે?
ભલો થાજે લાડકો તું જણનારી માવલડીનો
ભલો થાજે પીયુડો તું ગોરી ગોરી ભાભલડીનો
થજે તું સૌનો , ભાઈ રહેજે મારો.આ થઈ સંસારના સંબંધની વાત પણ સૃષ્ટિના સર્જનહાર-ઈશ્વરનો મહિમા પણ એમણે સરળતાથી ગાયો છે.
અવિનાશ વ્યાસ માટે એવું સાંભળ્યું છે કે, “એમના ભજનો ઘીના ઉજાસ જેવા – આંખોને ચકાચોંધ કરી મુકે એવી ઝળહળા રોશની જરાતરા સમય માટે કદાચ ગમેય ખરી, પણ એ ઉજાસ સહી લેવા માટે આંખ આડે નેજવું કરવું તો પડે જ જ્યારે તીર્થધામમાં મુકેલો ઘીનો એ નાનકડો દીવો તો તીર્થના પ્રવેશ અને પરિસરથી માંડીને બહાર સુધી એનો ઉજાસ રેલાવતો હોય ને? એનો ઉજાસ તો પાછો આંખને અજવાળે અને આત્માનેય અજવાળે એમ આત્માને અજવાળે એવા એમના ભજનો છે.
પણ, આ ભજનો એટલે શું? ભજનો એટલે ભગવાનનું નામ માત્ર? ના, ભજનો એ કે જે આત્માનો ઉદ્ધાર કરે કે ન કરે પણ આત્માના ઉદ્ધાર માટે સજ્જ કરે, આત્માની ચેતના જાગ્રત કરે એ જ્યારે આંતર ચેતના જાગ્રત થાય ત્યારે આપોઆપ મન બોલી ઉઠે… જ્યારે મન સંસારની માયામાંથી પરહરીને હરિને યાદ કરે ત્યારે અંતરના ઊંડાણથી અલખના નામની અહાલેક ઊઠે.
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની….
હરિના એ નામની એ અલખના એ ધામની…ભૂલો રે પડ્યો એ હંસો
આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની ….હવે જેમ મીરાંને સંસાર ખારો લાગે એમ જે જીવને ભક્તિ કેરા જામની તરસ જાગી હોય એને સંસારના સાજ બેસૂરા લાગે તો એ શું કહે? આવી મનોસ્થિતિમાં અવિનાશ વ્યાસ કહે છે …
બેસૂર સાજ સંસાર રે,
મારો મળ્યો મળે નહીં તાર…મૂળે અવિનાશ વ્યાસ ગીતકાર છે. રાગ તો એમના શ્વાસો શ્વાસમાં…એટલે કહે છે કે અનેકવિધ રાગ ગાયા પરંતુ અંતે તો વૈરાગનો રાગ જ મને ભવાટવીમાંથી બહાર લાવશે. સંગીતના સાત સૂરોને એમણે સાવ સહજ રીતે આ રચનામાં વણી લીધા છે.
ગાયા કંઈયે વિધ વિધ રાગ,
અંતે છેડ્યો મેં વૈરાગ,
લઈ જાશે ભવની પાર રે,
થઈ ભવભવનો સથવાર.આમ પણ સાત સૂરોના સરગમનું સંગીત એકસૂર, એકતાર થઈને રહે તો જ સંગીતની સૂરાવલિ સચવાય. આપણા જીવનમાં સમતા, દયા, ઘમંડમુક્તિ, હૃદય-મનની મૃદુતા-માર્દવતા અને નરસિંહ મહેતા કહે છે એમ પરદુઃખે ઉપકારીવૃત્તિ, આંતરિક ચેતનાનું ધન અને નિર્બળ પર અનુકંપા હોય તો ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ સરળતાથી સચવાય.
અવિનાશ વ્યાસ કહે છે,
“સમતાનો જ્યાં ષડ્જ મળે નહીં,
રિષભ મળે નહીં, રહેમભર્યો,
મૃદુવચની જ્યાં મળે નહીં મધ્યમ,
જ્યાં ઘમંડના ગાંધાર રે,
ત્યાં કેમ મળે મ્હારો તાર?
પરદુઃખીનો પંચમ ના બોલે,
ધનિકનો થઈ ધૈવત ડોલે,
નહીં નિર્બળનો નિષાદ રે,
ત્યાં કેમ મળે મ્હારો તાર?”સંસારમાં રહીને પણ આવી અને આટલી જાગૃતિ ? એના માટે ક્યાં કોઈ ભજનિકના લેબલની જરૂર જ છે?
સૌને એટલે જ અવિનાશ વ્યાસની રચનાઓ અત્યંત ગમે છે. કોઈ બોધ કે ઉપદેશ વગર પણ આપણા ચિત્તને, આત્માને જાગૃત કરી દે, જે હૃદય-મનને મોજીલા બનાવી દે.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
