-
એક સુવર્ણયુગમાં લટાર !
હરેશ ધોળકિયા
વિશ્વના એક મહાન ક્રિકેટર, ડોન બ્રેડમેનના સમકક્ષ એવા, ગેરી સોબર્સે વિદાય લીધી. જે લોકો ગઈ સદીમાં સાતમા દાયકા દરમ્યાન જન્મ્યા છે, તેમને આ સોબર્સ વિષે ભાગ્યે જ ખ્યાલ હશે, પણ તે પહેલાં, પાંચમાં દાયકા દરમ્યાન જન્મ્યા હશે અથવા ત્યારે યુવાન હશે, તેમને સોબર્સ વિષે પૂર્ણ ખ્યાલ હશે.સોબર્સ ભલે વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર હતા, પણ ત્યારે સમગ્ર વિશ્વના જે ઉત્તમ ક્રિકેટરો હતા તેમાં તે પણ એક અગ્રણી હતા. અને નિવૃત્તિ લીધા પછી પણ, અને તેમના પછી પણ અનેક ઉત્તમ ક્રિકેટરો આવતા રહ્યા છતાં પણ, સોબર્સની પ્રસિદ્ધિ અકબંધ રહી છે. દુનિયાના દરેક ક્રિકેટરનું સ્વપ્નું રહ્યું હશે કે તે એકવાર સોબર્સને મળે. એટલે જ તેમની વિદાય, ઉમર સહજ હોવા છતાં, બધાને આંચકો આપી ગઈ.
સોબર્સને રમતા જોવા એ એક લહાવો હતો. તેમણે અનેક રેકર્ડઝ કર્યા છે. તેમને આઉટ કરવા એ દરેક બોલર માટે એક પડકાર હતો. જયારે પણ કોઈ આઉટ થયા પછી તેઓ મેદાન પર આવે ત્યારે સામી ટીમના છક્કા છૂટી જાય અને પ્રેક્ષકોનાં મન આનંદથી છલકાઈ જાય કે હવે ક્રિકેટ જોવાની મજા આવશે. અમારી પેઢીએ આ મજા ભોગવી છે.
તે સમયે વિશ્વમાં બે ટીમ શ્રેષ્ઠ હતી: વેસ્ટ ઇન્ડીઝની અને ઓસ્ટ્રેલિઆની. આ બે ટીમ સામે જીતવું એ લોઢાંના ચણા ચાવવા જેવું મનાતું. બનેના અગિયારે અગિયાર ખેલાડી, ભલે કોઈ બોલર હોય, ઉત્તમ બેટ્સમેન હતા. વેસ્ટ ઇન્ડીઝના તો પહેલા બે બેટ્સમેન વોલ અને વોલ્કોટ આવે કે સામી ટીમને મૂંઝવણ થાય કારણ કે આ બે ને જ આઉટ કરવા મુશ્કેલ ! કદાચ તેમાંથી એક આઉટ થાય તોપછી સોબર્સ આવે. તેને આઉટ કરવા તો વળી તેનાથી પણ અઘરું. કદાચ એક આઉટ થાય તો રોહન કન્્હાઈ આવે. બાપ રે ! ખતરનાક બેટ્સમેન. પછી આવે કેપ્ટન એલેક્ઝાનડર ( ટીમના એક માત્ર ગોરા ખેલાડી) અથવા વોરલ.( પછીના કેપ્ટન) ભાગ્યે જ આખી ટીમને આઉટ કરી શકાય. એવા જ તેના બોલર. વેસ્લી હોલ. ગીલક્રિસ્ટ-ભયંકર ફાસ્ટ બોલરો. હોલ તો વળી ત્રીસ ચાલીસ પગલાની રનીંગ લે. પાછા છ ફીટથી વધારે ઊંચા. દોડતા હોય ત્યારે જ બેટ્સમેનને પરસેવો વળે. એવા જ સ્પિનર બોલર. સામી ટીમ મોટા ભાગે હારે જ !
એવી જ ઓસ્ટ્રેલીઆની ટીમ. રીચી બેનો, નીલ હાર્વે, લીન્ડવોલ, ગ્રાઉટ, ડેવિડસન – એક એકથી ચડિયાતા. અને તેમાં જો આ બે ટીમ સામસામી આવે, તો તો પ્રેક્ષકો માટે આહાહા ! જલસો પડીજાય.
તેમની બે મેચો આજે પણ ક્રિકેટના ઈતિહાસમાં અમર છે. એક મેચમાં પાંચમા દિવસની છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલીઆના છેલ્લા બેટ્સમેન હતા અને એક ફોર મારે તો મેચ જીતી જાય. હોલના પ્રથમ પાંચ બોલ રમી ન શક્યા. છઠ્ઠો બોલ હોલે નાખ્યો. બેટ્સમેને ઝનૂનથી ફોરનો ફટકો માર્યો-ડ્રાઈવમાં. બને દોડવા માંડયા. આ બાજુ હોલ બોલ પાછળ પડ્યો અને બરાબર ફોર પાસે બોલને પકડી લીધો અને ફોર થવા ન દીધી. બીજી બાજુ બેટસમેનોએ ત્રણ રણ પુરા કર્યા અને ચોથો રન દોડવા લાગ્યા. હોલે બોલ ફેંક્યો અને બેટ્સમેન અર્ધે રસ્તે હતા ત્યાં બોલ સ્ટમ્પને વાગ્યો અને તે આઉટ થઇ ગયા. મેચ “ ટાઈ” ગઈ. તે પળે જે મેદાનમાં કે ત્યારે રેડીઓ પર સંભાળનારાઓમાં ભયંકર ઉશ્કેરાટ હતો તેની આજે તો કલ્પના પણ ન કરી શકાય. ઓસ્ટ્રેલીઆના કેપ્ટન રીચી બેનોએ માથું કુટ્યું. ! એના પછીની મેચમાં ઓસ્ટ્રેલીયાના નવ બેટ્સમેન આઉટ થયા ત્યારે લગભગ સોથી વધારે રન કરવાના બાકી હતા. ચોથા દિવસનો ટી ટાઈમ હતો. વેસ્ટ ઇન્ડીઝને ખાતરી કે સાંજ સુધી તેઓ જીતી જશે કારણ કે એ છેલ્લી જોડી બંને બોલર હતા. પણ આ બેટ્સમેન પછીનો બધો સમય રમ્યા. એક પણ રન ન કર્યો, પણ આઉટ ન થયા. છેલ્લા દિવસે પણ તેઓ આખો દિવસ એક પણ રન કર્યા વિના રમતા રહ્યા, પણ આઉટ તો ન જ થયા. મેચ ડ્રો ગઈ. વોરલ રડી પડ્યા.
ત્યારે ટી.વી. ન હતું. ફિલ્મોમાં માહિતી ખાતાના સમાચારોના રીલ બતાવતા તેમાં આ મેચો બતાવતા. જયારે બતાવવાના હોય ત્યારે ખાસ જાહેરાત થતી કે આજે મેચ બતાવશે. અને બધા શોખીનો ગમે તે ફિલ્મ હોય, જોવા જતા જ. મોટા ભાગના તે જોઈ બહાર ચાલ્યા જતા. ફિલ્મ ન જોતા. ( ફિલ્મ હાતિમતાઈ જેવી હોય !) પણ બધા કામ છોડી આ મેચો જોવા તો જતા જ.
મજાની વાત એ છે કે ત્યારે ભારતની ટીમમાં પણ એક એકથી ચડિયાતા ખેલાડી હતા. અમરનાથ, વિજય મર્ચન્ટ, વીનું માંકડ, ઉમરીગર, રામચંદ, દતુ ફડકર, રમાકાંત દેસાઈ, ચંદુ બોર્ડે, નાડકર્ણી વગેરે. ત્યારે તો વર્ષે એકાદ બે મેચો રમાતી, છતાં માંકડે ત્યારે ૨૦૦૦ રનમાં ૨૦૦ વિકેટો લીધી હતી. ઈંગ્લેન્ડના રાણી માંકડની મેચ જોવા ખાસ આવતાં. કદાચ એટલે જ માંકડને તેમણે જ “નાઈટહૂડ “ ખિતાબ આપેલો. અને મજાની વાત એ છે કે ત્યારે ભારતની ટીમ સતત હારતી જ ! ખબર નહિ, પણ રમતી જ “ડીફેન્સીવ” રમત. છેક ૧૯૬૦ આસપાસ કાનપુરની એક મેચમાં જશુ પટેલે દસ વિકેટ લીધેલી ત્યારે કદાચ જીતવાની શરૂઆત થયેલી એવું યાદ છે.
કાયદેસર જીતવાની શરૂઆત પટીડીએ કરેલી. અને દરેક ખેલાડીની કોઈને કોઈ ખાસિયત રહેતી. નાડકર્ણીની બોલીંગમાં ભાગ્યે જ કોઈ રમી શકતા. તેમની બોલિંગ આવી હોય : ૨૯ ઓવર, ૨૮ મેઈડન, શૂન્ય રન અને નો વિકેટ ! મેચ કંટાળાજનક બની જતી. તો નીલ હાર્વે જેવો અદભુત બેટ્સમેન રમાકાંત દેસાઈની બોલિંગથી ગભરાતો. માંકડ અને પંકજ રોયની પ્રથમ વિકેટની ભાગીદારી ૪૧૩ રને એક વિકેટ વર્ષો સુધી ઐતિહાસિક રહી હતી. લીન્ડવોલ જબરો ફાસ્ટ બોલર હતો. બહુ ઓછા તેના સામે રમી શકતા. એક વાર માંકડ સામે તે બોલિંગ કરતા હતા. એક બોલ એવો આવ્યો કે માંકડ પણ મૂંઝાઈ ગયા. તે તરત લીંડવોલ પાસે ગયા અને તેને ઉત્તમ બોલ માટે અભિનંદન આપ્યા. સાથે આવો બોલ કેમ ફેંક્યો તે પણ પૂછ્યું અને “ભોળા” લીંડવોલે કહી દીધું. પછી તો માંકડે તેના દડાઓને જે ફટકાર્યા છે તે જોઈ લીંડવોલને રહસ્ય કહેવા બદલ ખૂબ અફસોસ થયો હશે. આવા તો અનેક અદભુત બનાવો ત્યારે ક્રિકેટમાં બનતા.
અને મજાની વાત એ છે કે એક એકથી ચડીયાતા ખેલાડીઓ હતા. ત્યારે, અભાવો વચ્ચે, વિશ્વ રેકોર્ડ કરતા હતા, છતાં તેમને રમવાના ભાગ્યે જ ૩૦૦ રૂપિઆ મળતા હતા. અને વર્ષમાં બે ત્રણ મેચ જ હોય. પરિણામે આ બિચારાઓને નોકરી કરવી પડતી ! તેની તુલનામાં આજના ક્રિકેટરો ધનમાં આળોટે છે.
ગાવસ્કર જેવો સક્ષમ ક્રીકેટર પણ નીર્લોનમાં નોકરી કરતો. અને ત્યારે તો ફાસ્ટ બોલિંગ સામે કોઈ જ રક્ષણ ન હતું. એક મેચમાં ભારતના નરી કોન્ટ્રાકટરને એક ફાસ્ટ બોલરનો બોલ માથામાં એવો તો વાગેલો કે તેની કારકિર્દી રોળાઈ ગઈ. હોલ કે લીંડવોલ જયારે બમ્પર બોલ નાખે ત્યારે બેટ્સમેન માટે રમવા કરતા તે બોલ માથામાં વાગી ન જાય તેની વધારે ચિંતા કરાવી પડતી.
ત્યારે મજા શું હતી કે મેચો વર્ષમાં બે ત્રણ વાર જ રમાતી, એટલે તે બાબતે જિજ્ઞાસા જીવતી રહેતી. આજે તો રોજ રમાય છે એટલે હવે તેની “થ્રિલ” ઓછી થઇ ગઈ છે. જે વસ્તુ વારંવાર મળે તેનું મહત્વ ઓછું થઇ જાય. ત્યારે બધી મેચો પાંચ દિવસ જ રમતી. આજે તો વીસ ઓવર પણ હવે વધારે લાગે છે. “સ્લો”માં જે “શ્રિલ” હતી તે આજે “ફાસ્ટ”માં જોવા નથી મળતી.
હવે તો ખેલાડી કેટલા કમાય છે તેમાં જ તેને અને બધાને રસ છે. રમત અને જાહેરાતમાં કરોડોના ખેલ થાય છે. મેચો પણ “ફિક્સ્ડ” થાય છે. પરિણામે આજે તેમની “આભા” ઊભી નથી થતી. તેઓ ખેલાડી કરતા વેપારી વધારે લાગે છે. એટલે ભલે આજના ખેલાડીઓને પણ રમતા જોવા ચોક્કસ ગમે છે, પણ જયારે સોબર્સ કે માંકડ જેવા ખેલાડીઓને યાદ કરીએ છીએ, ત્યારે વિશેષ આનંદ થાય છે.
સોબર્સના નિમિતે એક સુવર્ણયુગમાં લટાર મરાવી દીધી. એક વિશેષ થનગનાટ અનુભવાયો.
સોબર્સને આદરપૂર્વક સલામ.
( કચ્છમિત્ર : તા; ૨-૮-૨૬ : રવિવાર )
હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com
-
સ્મૃતિસંપદા – જગદીશ પટેલ : જીવનનાં ઝરણાં [૩]
આ પહેલાં આપણે જગદીશ પટેલનાં જીવન ઝરણાંના અમેરિકા વસવાટ દરમ્યાનનાં પહેલા તબક્કાનાં વહેણ જોયા.હવે અંતમાં તેમનાં લગ્નજીવન અને નિવૃતિ કાળની મીઠી યાદોનાં વહેણનાં ઝરણાંને માણીએ.ન્યુયોર્ક પાછા આવી મેં ઘરસંસારની તૈયારી કરી. એપાર્ટમેન્ટ અને નવી કાર લીધી. નોકરી સારી હતી તેથી બીજી કોઈ ચિંતા કર્યા વગર છ મહિના અમિતાની રાહ જોવામાં જલદી નીકળી ગયા.
૧૯૭૨ ના ઓગષ્ટ મહિનામાં અમિતા અમેરિકા આવી ત્યારે ક્વિન્સમાં થોડા જ ભારતીયો હતા. તે સમયે ત્યાં ઇમીગ્રન્ટ અને એથનીક માણસોની વસ્તી ઓછી. અમારા મિત્રો પણ પત્નીને બોલાવી સેટલ થતા હતા. કોઈનું પોતાનું હાઉસ ના મળે, અને મોટાભાગના યુગલો બાળક વગરના હતા. ધીમે ધીમે પત્નીઓ તેમની આવડત અને ભણતર પ્રમાણે જોબ કરતી થઈ. અમિતાની માઇક્રોબાયોલોજીમાં ડિગ્રી હતી અને આગળ હોસ્પિટલમાં પેથોલોજીનો અભ્યાસ કર્યો હતો. પરંતુ તેણે ભારતમાં નોકરી ના કરી તેથી તેને ન્યુયોર્ક એરિયામાં સાંજે, વીકએન્ડ, કે ખરાબ વિસ્તારમાં જ જોબ મળે તેમ શક્ય. તે સંયુક્ત કુટુંબમાં ઉછરી મોટી થઈ હતી તેથી તેની બાળકોને સારી રીતે ઉછેરવાની મહેચ્છા, અને તેમના માટે જ, તે મોટા થાય ત્યાં સુધી, હાઉસવાઈફ તરીકે રહેવાની તમન્ના. મને કોઈ દિવસ પૈસા ભેગા કરવાનો મોહ નહીં. મારી ધારણા મુજબ ભૌતિક જીવન ની સફળતા અને વાસ્તવિકતા, અને કાયમી પ્રસન્નતા વચ્ચે, ઘણું અંતર હોય. હું પણ માનું કે જરૂર ના હોય તો માતાએ નોકરી કર્યા વગર ઘરે રહી બાળકોને ઉછેરવા તે મહત્ત્વનું અને જરૂરી છે. તેથી અમે બન્નેએ નક્કી કર્યું કે એકાદ બે વર્ષ અમિતા બેંકમાં નોકરી લેશે, ભણતર કામમાં આવે કે બહુ પૈસા મળે તે અગત્યનું નથી. આજે પચાસ વર્ષો બાદ કોઈ સમયે અમિતાને કુતુહુલ થાય કે તે પ્રોફેશનલ બની હોત તો જિંદગીમાં શું ફેર પડત. પરંતુ તેણે જે નિશ્ચય લીધો હતો તેનું દુખ નથી.
યુવાની અને નવા લગ્નજીવનના સુસંગમથી દસ વર્ષ પાણીની માફક વહી ગયાં. અમારા દીકરાનો જન્મ થયો ત્યારે અમે તેનું નામ સત્ય રાખ્યું, કારણ કે હું ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’થી ખૂબ પ્રભાવિત થયો હતો. દીકરીનું નામ અમિતાની પસંદગી પ્રમાણે સીતા પાડ્યું કેમ કે તે એક આદર્શ દિકરી અને પત્ની હતી. બાળકોના ભણતર અને ભવિષ્યનો વિચાર કરી અને મારી જોબમાં સારી તક મળે તે કારણે અમે ન્યુયોર્ક છોડી હ્યુસ્ટન ગયા, અને પછી ૧૯૮૨માં લાસવેગાસ સ્થાળાંતર કર્યું.
લાસવેગાસ ત્યારે જુગાર માટે પ્રખ્યાત, પણ નાનું શહેર હતું. તે સમયે મોટા મોટા વૈભવશાળી કસીનો ન હતા, મારી નોકરી એક એન્જિનયરીંગ કંપની જેનો અણુધડાકાના પ્રયોગો કરવાના કામ માટે કોન્ટ્રાકટ હતો તેમાં. તે પ્રયોગો ભયજનક, તેથી કોઈ શહેર પાસે ના થઈ શકે. લાસવેગાસથી ૬૫ માઇલ દૂર આવેલી નવાડા ટેસ્ટ સાઇટમાં બધું કામ થતું. અમેરિકાની રશિયા સાથેની હરિફાઈ અને શત્રુતામાં અમારા કામની બહુ કિંમત ગણાય તે કારણે મારી સાથે કામ કરતા લોકો કહેતા કે અમે લોકશાહીને બચાવવાનું કામ કરીએ છીએ. ટેસ્ટ સાઇટ પર કામ કરવા સિક્યોરિટી કલીયરન્સની જરૂર પડે તેથી ફક્ત અમેરિકન સિટીઝન ત્યાં નોકરી લઈ શકે. પરવાનગી માટે તમારા ભૂતકાળની પૂરી ચકાસણી થાય. વર્ષો પહેલાના પાડોશીને પણ તમારા વિશે પૂછપરછ કરે. આવી જરૂરિયાતોને કારણે ત્યાં પરદેશ જન્મેલા બહુ ઓછા કાર્યકર્તા હોય છે. ખાસ કરીને તે સમયે મારી કંપનીમાં બહું ઇમીગ્રેન્ટ ન હતા.
લાસવેગાસ જતા પહેલાં મને એવું ભાગ્યેજ થતું કે મારી ઇન્ડિયન એક્સેન્ટ ભારરૂપ હોઈ શકે. ન્યુયોર્ક આંતરરાષ્ટ્રીય મેગાસિટી છે. ત્યાં દુનિયાના દરેક દેશના નાગરિકો આવીને વસે, તેથી બધાના કાન જુદી જુદી એક્સેન્ટથી ટેવાયેલા હોય છે. અમારી કંપનીના કર્મચારી પરદેશીઓનું કે બીજા દેશો વિશે બહુ ઓછું જ્ઞાન ધરાવતા. થોડા સમયમાં જ મને લાગવા માંડ્યું કે હું બધા કરતાં જુદો છું. રોજ દિવસમાં એક વાર કોઈ વ્યક્તિ કે પ્રસંગ મને મારી ભારતીયતાનું ભાન આપે. અજુગતું લાગવા છતાં તે વાતનું મને દુ:ખ ન થતું કે ગુસ્સો ન આવતો.
જેમ સમય પસાર થતો ગયો તેમ મારા બોસ અને સહકર્મચારીઓ મને ઓળખતા થયા. મારા કામથી પરિચિત થયા અને તેમને મારા માટે થોડું માન થવાનું શરૂ થયું. એકાદ વર્ષમાં મને ફાવી ગયું અને મારા આત્મવિશ્વાસમાં વધારો થતાં મેં મારા સ્વભાવ પ્રમાણે દલીલો કરવાનું અને અભિપ્રાયો બતાવવાનું ચાલુ કર્યું.
દરેક જગ્યાએ માણસો સરખા ના હોય. મારા એક સુપરવાઇઝરને મારું સ્વત્રંતતા ભરેલું વર્તન બળવાખોર જેવું લાગ્યું. હું તેને ગમતો નહીં. તેણે મને એક દિવસ કહ્યું કે તું ભારતમાં રહ્યો હોત તો તારી ખરાબ દશા હોત. મારા રિપોર્ટમાં લખ્યું કે મને અંગ્રેજી પાકું કરવાની જરૂર છે. બન્ને બાબત ખોટી હતી તેથી મને ગુસ્સો આવ્યો અને મેં હ્યુમન રિસોર્સમાં તેની ફરિયાદ કરી. તે ડિપાર્ટમેન્ટના માણસોએ આવી બધી તપાસ કરી, મારી સાથે કામ કરતાં વ્યક્તિઓના ઇન્ટરવ્યુ લીધા. કોઈએ મારા સુપરવાઇઝરને સાથ ના આપ્યો, અને મારા પ્રત્યેની વર્તણુકથી તેની બદલી થઈ. આ દાખલો બતાવે છે કે અમેરિકા કેમ સામાન્ય માણસો માટે દુનિયામાં શ્રેષ્ઠ દેશ છે. કોઈ પણ ઓળખાણ કે લાગવગ વગર મને જે ન્યાય મળ્યો તે ક્યાંય પણ શક્ય હોય તેમ મને નથી લાગતું.
પરમાણુશસ્ત્રોના પ્રયોગો તેમની વિશ્વાસપાત્રતા અને સલામતી જાણવા માટે થાય. શસ્ત્રની યોજના કરી, તૈયાર થાય ત્યારે નવાડામાં લાવવામાં આવે. ત્યાં આઠથી દસ ફૂટના વ્યાસનો એક માઇલ ઊંડો કૂવો હોય તેમાં નીચે ઊતારી તેને રેતી, સિમેન્ટ અને કોંક્રિટના થર કરી દાટી દેવામાં આવે. જ્યારે તેનો ધડાકો થાય ત્યારે કેબલ્સ મારફતે ડેટા વંચાય, તે શસ્ત્રોને સમજવામાં બહુ ઉપયોગી હોય છે. કોઈ પણ દેશ આવા પ્રયોગો સિવાય ન્યુક્લીયર નેશન ના બની શકે. ૧૯૯૯ માં જ્યારે પાકિસ્તાન અને ભારતે આઠેક પ્રયોગો ચાર દિવસમાં કર્યા હતા ત્યારે દુનિયામાં ઘણો વિવાદ થયો હતો. ત્યારે મેં ભારતના બચાવમાં લાસવેગાસના દૈનિકમાં લખ્યું હતું કે અમેરિકાએ ભારતની પરિસ્થિતિ, ભારતીયોના તેના પાડોશી દુશ્મનનો ડર, અને લાગણીનો વિચાર કરવો જોઈએ. અમેરિકા પાસે હજારો અણુશસ્ત્રો છે અને તેણે બીજા વિશ્વયુદ્ધમાં તેનાથી જાપાનમાં વિનાશ પણ કર્યો હતો. અમેરિકાની ‘હું કહું તેમ કરો, હું કરું તેવું નહીં” તેવી સલાહ અયોગ્ય છે.
લાસવેગાસમાં શરૂ શરૂમાં પચ્ચીસેક ગુજરાતીઓ અને બીજા ભારતીય કુટુંબો હતા. જેમ જેમ વસ્તી વધી, અને આજે ચાર ગણી થઈ ગઈ છે ત્યારે હજારો છે. ઘણાં યુગલો સાથે અમારે વર્ષોથી ગાઢ સંબંધ છે. પણ જ્યારે અમારા બાળકો પ્રાથમિક શાળમાં હતાં ત્યારે તેમની સ્કૂલમાં બીજા કોઈ ઘઉંવર્ણા કે કાળા વિદ્યાર્થી નહોતા ભણતા, સત્ય અને સીતાના બધા મિત્રો ધોળા. તે સમયે લાસવેગાસમાં મોર્મન લોકોની વસતી પ્રમાણમાં વધુ અને તેમની રાજકીય ક્ષમતા ઘણી. અમારી દીકરી સીતાની લગભગ બધી મિત્રો મોર્મન અને કોઈ કોઈ વાર તે ચર્ચમાં મિત્રો સાથે જતી. હું તો નાસ્તિક અને અમિતા થોડી ધાર્મિક, પણ તે ચુસ્ત પ્રણાલિકા અને રીતરિવાજોથી દૂર હતી. અમારા બેમાંથી કોઈને અજુગતું ન લાગ્યું કે સીતા બીજા ધર્મના પ્રભાવ નીચે આવી રહી હતી.
દીકરો અને દીકરી જોતજોતામાં મોટા થઈ ગયા. હાઈસ્કૂલમાં ડાન્સ, ડેટિંગ વગેરે બધી પ્રવૃત્તિમાં ભાગ લીધો. અમે, માતાપિતાએ, બાળકોને જિંદગી અનુભવવા અને તેમાંથી શીખવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. ગુજરાતમાં અમારાં, ભૂતકાળના, બાળપણ સાથે સરખામણી કરવાની અમને ટેવ ન હતી. તેથી બન્ને બાળકોમાં ભારતીયતા ઓછી. અમે તેમને બધી છૂટ આપી હતી અને તેમનું વર્તન જવાબદારી ભરેલું હતું. તેઓ ભણવામાં હોશિયાર અને કોઈ દિવસ અમને ચિંતા ન કરાવી. ગ્રેજ્યુએટ થયા પછી સત્ય ફિલોડેલ્ફીયા અને સીતા સોલ્ટ લેક સિટી કૉલેજમાં ગયાં.
અમે ૧૯૯૯માં સીતાના કૉલેજના ગ્રેજ્યુએશનમાં તેની યુનિવર્સિટીમાં ગયા ત્યારે તેના મિત્રોને ડિનરમાં લઈ ગયા હતા. તેમનો પરિચય થવાથી અમને સંતોષ હતો કે સીતાના મિત્રો, યુવાન છોકરી અને છોકરા, સારા ઘરના અને સભ્ય હતા. આનંદ થયો કે દીકરી ભણી છે પણ કાયમની માફક જવાબદારી અને શાણપણથી કૉલેજના ચાર વર્ષ ગુજાર્યા છે.
એકાદ વર્ષ પછી હું ફોન પર વાત કરતો હતો ત્યારે સીતાએ કહ્યું, “ડેડ, મોમને બીજી લાઇન પર મૂકો.” મને તે ક્ષણે જ થયું કે કશી મહત્ત્વની વાત કરવી હશે. શી હશે તેનો ખ્યાલ ન હતો.
સીતા ધીમેથી બોલી, “મેં એક છોકરાને પસંદ કર્યો છે, મને તેની સાથે વિવાહ કરવાની ઇચ્છા છે.”
તે સમયે તેની ઉંમર ફક્ત ૨૨ વર્ષની હતી. અમે તો તેના લગ્ન માટે વિચાર પણ નહીં કરેલો. તે વર્ષોમાં કોઈ પચીસ વર્ષની ઉંમર પહેલાં પરણતું ન હતું. જો કે અમે વાતવાતમાં સત્ય અને સીતાને કહ્યું હતું કે તમે જાતે કોઈને ખોળો તો અમને વાંધો નથી. મદદની જરૂર હોય ત્યારે અમને જણાવજો. અમે ન્યાતજાતમાં પણ માનતા નહીં, પરંતુ મનમાં એમ હતું કે તેઓ ગુજરાતી કે પછી છેલ્લે ભારતીયને પરણે.
સત્ય અને સીતા હાઈસ્કૂલમાં ધોળા મિત્રો સાથે ડેટ પર ગયેલા. મારું અને અમિતાનું માનવું હતું કે બે-ચાર વર્ષમાં સત્ય કોઈને ખોળશે અને પછી સીતા. તેથી તેની વાત સાંભળી અમને ખૂબ નવાઈ લાગી.
મેં કહ્યું, “ખરેખર, કોણ છોકરો છે ?”
તેણે કહ્યું, અમે સોલ્ટ લેક સિટી ગયા ત્યારે તેના એક નવા મિત્ર ઓસ્ટીનને મળ્યા હતા. તે મોર્મન મિશન પર જર્મની જઈ તાજો ઘરે પાછો ફર્યો ત્યારે ‘વેલકમ હોમ’ પાર્ટીમાં તેને પહેલી વાર મળી, અને હવે પરિચય વધ્યો છે.
ધીમે ધીમે અમે બધી વિગત પૂછી. ઓસ્ટીનના ભણતર અને કુટુંબ વિશે પણ પ્રશ્નો કર્યા. મિશનમાં બે વર્ષ જવાથી તે હજુ કૉલેજમાં જ હતો અને પાર્ટ ટાઇમ નોકરી કરતો હતો. સીતાએ ઉમેર્યું કે તે લગ્ન માટે મોર્મન ધર્મ અપનાવશે.
અમે સીતાને અભિનંદન આપ્યા પણ મનમાં, ખાસ કરીને અમિતાના દિલમાં, થોડી હલચલ મચી ગઈ.
પછીના થોડા દિવસોમાં વારંવાર ફોન પર વાત કરી ઘણી વાતો કરી. અમે સીતાને ના કહીએ તે સવાલ જ ન હતો. મને શાંતિ થઈ કે ઓસ્ટીનનું કુટુંબ સ્થાયી અને ધાર્મિક છે. અમે બન્ને જાણતા હતા કે મોર્મન લોકોની રહેણી-કરણી અને જીવનના નિયમો સારા અને સાદા હતા. તેમના ધર્મ વિશે થોડી માહિતી હતી પરંતુ તેની ઊંડી વિગતો અમારા માટે બહુ અગત્યની નહીં. સીતા ધર્મપરિવર્તન કરે તેથી અમિતાને થોડો સંકોચ હતો, ખાસ કરીને સગાવહાલા શું વિચાર કરશે તેનો. અમારા બન્નેના કુટુંબોમાં કે અમારા જાણીતા કોઈ લોકોમાં તે સમયે એકપણ યુવતીએ ધર્મપરિવર્તન કરી, દેશની બહાર, લગ્ન કર્યું હોય તે અમારા જાણવામાં નહીં, અને સીતાની ઉંમર થોડી કાચી તેવી કશ્મકશ અમિતાને રહી. મને તો ફકત ઓસ્ટીનની વ્યક્તિગત માહિતીમાં રસ અને તેઓ કેવી રીતે જીવન ગુજારો કરશે તે જાણવાની જિજ્ઞાસા. અંતે અમે નક્કી કર્યું કે આપણને સીતાની નિર્ણયતા અને જવાબદારી માટે વિશ્વાસ છે. તેને જે કરવું છે તેનો વિરોધ કરવાનું કોઈ કારણ નથી. અમે ખુશીથી તેને સંમતિ આપી. ફક્ત એટલી જ માગણી કરી કે મોર્મન ટેમ્પલ પછી તેણે હિંદુ વિધિથી લાસ વેગાસમાં લગ્ન કરવું. સીતા તરત જ તે માટે રાજી થઈ.
તે વાતને આજે ૨૧ વર્ષ થયા છે. સીતા અને ઓસ્ટીન આનંદથી તેમના ત્રણ બાળકો સાથે સુખી જીવન વિતાવે છે. દીકરા સત્યએ પણ તેની મેળે એક ગુજરાતી પટેલ યુવતીને ખોળી, અને તે પણ હર્ષની જિંદગી જીવે છે.
૧૯૯૨માં અમેરિકા અને રશિયા એ અણુધડાકાના પ્રયોગો ન કરવાની સંધિ કરી. તેથી અમારું મુખ્ય કામ મોભે મૂકાયું. તે છતાં અમેરિકાને પ્રયોગો કરવાની આવડત અને અનુભવની જરૂર હતી તેથી બીજા કામમાં અમે પરોવાયા. થોડા વર્ષો તે ચાલ્યું તે દરમ્યાન મેં એક મોટા કન્વીનયન્સ સ્ટોરમાં પૈસા રોકયા. મારે અને મારા મિત્ર ભાગીદારોએ ત્યાં કામ કરવાનું નહીં. તેથી નોકરી પણ ચાલુ જ રાખી.
ધંધાની આવક વધતી રહી અને જોબ પર કામનો કંટાળો પણ વધુ થવા લાગ્યો. મારા મગજમાં એક વિચારે ઘર કરવા માંડ્યું કે મારે નોકરીની જરૂર નથી. પહેલેથી જ મારી માન્યતા હતી કે સુખી થવા માટે અખૂટ ધનની જરૂર નથી, સંતોષની છે. તેવી વિચારધારણા લઈને જ મેં રિટાયરમેન્ટ અને બેનિફિટની ચિંતા કર્યા સિવાય ૧૯૭૮માં ન્યૂયોર્ક સીટીની જોબ છોડી દીધી હતી. હું ખાનગી કન્સલ્ટિંગ કંપનીમાં ફકત સારા કામના અનુભવ માટે ગયો હતો. ૫૧ વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે રિટાયર થઈ શાંતિથી, ઇચ્છા મુજબ રહી બાકીની જિંદગી ગુજરાવી છે. મારું તે પગલું ઘણા ઓળખીતાને અજુગતું લાગ્યું. હું ઘરડો ન હતો અને મારી પાસે અઢળક મિલકત પણ નહીં, છતાં મેં નોકરી મૂકી દીધી. એન્જિનયરનું લાયસન્સ રદ કરાવ્યું અને નિવૃત્ત થઈ ગયો. શરૂઆતના વર્ષોમાં મને કોઈ નવી વ્યક્તિ મળે અને સાધારણ રીતે પૂછે છે કે તમે શું કરો છો, ત્યારે મારો જવાબ સાંભળી તેમને નવાઈ લાગતી. કોઈ કોઈને એમ પણ થાય કે માણસ બેકાર હશે તેથી રિટાયર થયો તેમ કહે છે. પાંચ-સાત વાર મને તેમ લાગ્યું પછી કોઈ કોઈ વખત હું હસીને જવાબ આપતો કે હું જોબ ખોળું છું પણ મને કોઈ નોકરી આપવા તૈયાર નથી.
તે વાતને આજે ચોવીસ વર્ષ થયા. વાનપ્રસ્થાશ્રમના વર્ષોમાં અમે થોડું વોલીંટયર કામ કર્યું. મેં નવા અને નાના ધંધાના વેપારીઓ ને સલાહ આપવાનું, અને અમિતાએ નાના બાળકો જેમને કેન્સર થયું હોય તેમણે મદદ કરવાની સંસ્થા માટે. છ વર્ષ પહેલાં અમે બન્ને અમદાવાદ ગાંધી આશ્રમમાં માનવ સાધના નામની એનજીઓ છે ત્યાં એક મહિના માટે સેવા આપી. હવે અમિતા અને હું પાંચ બાળકોના બા-દાદા થયા છે. લાસવેગાસમાં મિત્રો સાથે મજા કરીએ છીએ તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. વિશ્વના પચાસ દેશોમાં મુસાફરી કરી છે, અને સાતે સાત આધુનિક આશ્ચર્યજનક સ્થળો જોયા. સગાવહાલાં અમેરિકામાં પુષ્કળ છે તેમને મળીએ છીએ.
ગુજરાતમાં અમેરિકા આવવા ની ઇચ્છા અને લોભનો વંટોળ ૧૯૭૦ના દસકાથી ચાલુ છે. અમારું કુટુંબ મોટું, ભાઈ-બહેનો બધાં થઈને આઠ હતાં. હું અમેરિકા પહેલો આવ્યો અને સિટિઝન થયો પછી કુટુંબના દરેક સભ્યને અમેરિકા આવવાની ઉમેદ હતી. એક પછી એક મેં બધાને સ્પોન્સર કર્યા, તેમને ગ્રીન કાર્ડ મળ્યાં. વડીલો, યુવાનો, બાળકો, સહિત મોટી આશા અને ઉત્સાહ થી ભરાયેલા મન લઈ એક પછી એક કુટુંબ અહિયાં આવ્યું. આજે અમારી ચાર પેઢીના લગભગ ૯૦ કુટુંબીજનો અમેરિકામાં રહે છે.
નિવૃત્તિના વર્ષોમાં મને ઇચ્છા થઈ કે કુટુંબનું રીયુનિયન લાસવેગાસમાં કરવું જોઈએ. ભાઈ, બહેનો, ભાણા, ભાણીઓ વગેરેનો અભિપ્રાય માગીને મેં નક્કી કર્યું કે ૨૦૧૮માં સંમેલન કરીએ. તે સમયે પ્રેસિડન્ટ ટ્રમ્પ ઇમિગ્રેશનની વિરુદ્ધ રોજ ભાષણો કરતા અને નવા નવા નિયમો બહાર પાડતા હતા. અમે એક થી નેવું થયા તે નવાઈની વાત ન હતી પણ દરેક માણસની રાજકારણીય દૃષ્ટિ અને વિચાર પ્રમાણે તેવી હકિકત સારી કે નરસી બની શકે. કાયદા ભાંગીને પ્રવેશતા લોકો સાથે સાથે ઇંડિયન-અમેરિકન પ્રજા તરફ ઘણા સફેદ માણસો અણગમો બતાવતા થયા હતા. મને તેથી થયું કે અમારા રીયુનિયન વિશે કોઈ પેપરમાં લેખ લખાય તો તે રસપ્રદ ઘટના તરીકે છપાવાય.
ન્યૂયોર્ક ટાઇમ્સ દુનિયાનું સૌથી સારું અને મહત્ત્વનું દૈનિક ગણાય છે. ઇમિગ્રેશન તેના માટે, તે સમયે, સૌથી મોટો વિવાદાસ્પદ વિષય હતો તેમ કહી શકાય. હું પચાસ વર્ષથી નિયમત ટાઈમ્સ વાંચું. મને વિચાર આવ્યો કે અમારા રીયુનિયન વિશે ન્યૂયોર્ક ટાઇમ્સમાં આર્ટિકલ આવે તો સારું, પણ તે લગભગ અશક્ય લાગ્યું. છતાં મેં મહેનત કરી ટાઇમ્સના ઇમિગ્રેશન રીપોર્ટરનો સંપર્ક સાધ્યો. અમે ઘણી ઈમેઇલ એકબીજાને મોકલી અને તેણે લાસવેગાસ અમારા સંમેલનમાં આવવાનું નક્કી કર્યું. પણ છેલ્લા દિવસે મેક્સિકન બોર્ડર પરથી મોટા રીપોર્ટ માટે તેને ત્યાં જવાનું થયું. મને નિરાશા થઈ. પણ રીયુનિયન કર્યું તેમાં ૭૫ કુટુંબીજનો એ ભાગ લીધો અને અમે ખૂબ આનંદ કર્યો.
રીયુનિયનના ત્રણેક મહિના પછી અચાનક રીપોર્ટરનો ફોન આવ્યો. તેણે કહ્યું કે તે બીજે દિવસે લાસવેગાસ અમારી ઘેર ફોટોગ્રાફર સાથે ત્રણ-ચાર કલાક માટે આવી શકે છે. તે સમયે અમારો ઇન્ટરવ્યુ લેશે અને ફોટા પાડશે. મારા આનંદનો પાર ના રહ્યો. મારા જીવનમાં વાંચનનું ખૂબ મહત્વ રહ્યું છે તેથી ન્યૂયોર્ક ટાઇમ્સ અમારા કુટુંબ વિશે લખે તે ચમત્કાર જેવું કહેવાય. આખી રાત મારા ઉત્સાહ, અસ્વસ્ત્થા અને ઉશ્કેરાટનો પાર ન રહ્યો.
અમેરિકા, અને દુનિયાને, સામાન્ય, સફળ, અને સુખી, ઇડિયન-અમેરિકન કુટુંબ નો પરિચય આપવાની મોટી જવાબદારી મારી થઈ. હું શું કહું, કેવી રીતે વાત કરું, અમિતા કેવી રીતે વાત કરે, કયા વિષય માં રિપોર્ટર ને રસ હોય, શું પહરેવું, તેવી નાની નાની બાબતો થી મગજ છવાઈ ગયું.
ચિંતા હોવા છતાં, સમય આવ્યો ત્યારે દિવસ સહેલાઈથી પત્યો. રિપોર્ટર અને ફોટોગ્રાફરને અમારા કસ્ટમ હાઉસ, મંદિર માં રાધા-ક્રષ્ણની આરસપાણ ની ઊંચી મુર્તિ, હોમ થિયેટર, બાર, વગેરેમાં બહુ રસ પડ્યો, તે વિષે પ્રશ્નો કર્યા, વિવિધ ફોટા લીધા. તેઓ કાયમ ઈલીગલ ઈમિગ્રેન્ટ ની મુશ્કેલી અને હાલતો નો અહેવાલ આપતા હોય તેથી કદાચ તેમની અમારા જિંદગી વિષેની ધારણા ભિન્ન હશે. અંતે મને સંતોષ થયો કે ઇન્ટરવ્યુ સારો ગયો.
પછીના રવિવારે ટાઇમ્સના ડિજિટલ એડિશનમાં સૌથી ઉપર મારા ફોટા અને ‘ઇમિગ્રેશનનો એક ચહેરો’ તેવા હેડિંગ નીચે લાંબો લેખ આવ્યો. સોમવારે પ્રિન્ટ એડિશનમાં પહેલા પાના પર તે જ આર્ટિકલ અને ત્રણ-ચાર ફોટા છાપયા. મારું એક સ્વપ્ન સાકાર થયું.
અમેરિકામં પ્રેસિડન્ટ રેગનના સમયથી વધુ ચર્ચા થઈ રહી છે કે અહીંયા વસતા બધા વ્યક્તિઓ અમેરિકન કહેવાય કે બે જોડકા નામ (જેમ કે ઇન્ડિયન-અમેરિકન) કે પછી ફક્ત એક જ (જેમ કે હિસ્પેનીક) પ્રમાણે ઓળખાવા જોઈએ.
ડોનાલ્ડ ટ્રમ્પ મોટાભાગે ઇમિગ્રેશનના પ્રશ્નને કારણે જીત્યો હતો. અહીંયા રહેતા ભારતીયોમાં તે વિષે ઘણી અંદરઅંદર તે ચર્ચા થાય છે. વર્ષોથી અમેરિકામાં રહેવાં છતાં અણગણિત ભારતીયો હજુ રહેછે તે દેશની સારી વસ્તુઓ કબૂલ નથી કરી શકતા. મારું માનવું છે કે એકતા અને રાજકીયતા માટે આ દેશમાં વસતા બધા માણસો અમેરિકન કહેવાવા જોઈએ. હું મારી જાતને અમેરિકન જ માનું છું.
અમેરિકન વ્યક્તિની વ્યાખ્યા કે પરિચય હોઈ શકે? મોટાભાગના ભારતીયોના માનવા મુજબ અમેરિકન એટલે આ દેશમાં રહેતો ધોળો માણસ. ભલે ને તે આપણા જેવો બહારથી આવેલો હોય. તેથી હું કહું કે “હું અમેરિકન છું” ત્યારે ઘણા લોકો મને તિરસ્કાર કે દયાને પાત્ર ગણે છે. કહે છે કે મારો દેખાવ, રીતભાત કે ભાષા દેશી જેવાં છે. તેથી હું અમેરિકન ન કહેવાઉં. તે લોકો પૂછે છે, “અમેરિકનો તને દેશી નથી માનતા?”
આ વાત તો થઈ બહારના દેખાવની. પરંતુ હકીકત શું છે? આ દેશમાં હું વર્ષોથી રહું છું અને સુખી છું તે કરતાં ય વધુ અગત્યની હકીકત એ છે કે અમેરિકાના બંધારણ, સિદ્ધાંતો, રાજકીય અને સામાજિક જીવનને મેં અપનાવ્યા છે. મને અમેરિકાની માણસાઈ, નિષ્પક્ષતા, ન્યાય, વ્યક્તિ સ્વાતંત્ર્ય, લોકશાહી, તાજગી અને હા, સમૃદ્ધિ પસંદ છે.
અમેરિકાની સમાજરચના, રાજકીય પદ્ધતિ, અદાલતો, વ્યવસાય, અને વ્યવહાર દરેક વ્યક્તિ માટે સરખા ઉપયોગી છે. અહીં બંધારણનો ફકત અભ્યાસ કે વાર્તાલાપ જ નહીં, રોજિંદા જીવનમાં અમલ થાય છે. અમેરિકામાં મારી કિંમત મારા પૂર્વજો પર આધારિત નથી. મારાં કાર્યો જ મારી સફળતા કે નિષ્ફળતા માટે જવાબદાર છે. મારાં સુખની વ્યાખ્યાઓનો સર્જક હું જ છું. તે પ્રાપ્ત કરવાનો રસ્તો મારે જ ખોળવાનો છે. અહીં મારી જિજ્ઞાસા અને રુચિ સંતોષવાની અનેક તકો છે. સારી કે નરસી, પ્રાચીન કે અર્વાચીન, લોકપ્રિય કે અસ્પૃશ્ય, મારી પસંદગી મુજબ હું મારી જીવનચર્યા ઘડી શકું છું. સ્વાર્થી બન્યા વગર સ્વતંત્રતા કેળવવાનું, સમૃદ્ધ થવાનું, અહીં શક્ય ને સહેલું છે. અહીં હું લાંચરુશ્વત વિના પ્રામાણિક નોકરી કે ધંધો કરી શકું છું. મહેનત અને થોડું નસીબ, સફળતા માટે પૂરતાં છે. અમેરિકામાં પણ બદી છે. જાતિવાદ, ગુના, ગરીબી, કુટુંબોનું વિભાજન વગેરે. પરંતુ પ્રશ્ન એ છે કે તેનું પ્રમાણ કેટલું છે ? અમેરિકા સ્વર્ગ નથી પણ અન્ય દેશો કરતાં સામાન્ય નાગરિક માટે સ્વર્ગની નજીક છે. મને ભારત માટે પણ લાગણી છે. જે દેશમાં જન્મ થયો, જ્યાં ઊછર્યો, તે માતૃભૂમિને ભૂલવી કે અવગણવી શક્ય નથી. હું એવી દીકરી જેવો છું જેને મનગમતી સાસરી મળી છે. મને ‘પિયર’ યાદ આવે છે પરંતુ મારું જીવન માતૃભૂમિના વિયોગ પર નહીં, આજના ઉત્સાહ અને આવતી કાલની અપેક્ષા પર આધારિત છે. હું અમેરિકન એ કારણે છું કે મારે અમેરિકા સાથે માનસિક અને શારીરિક સુમેળ છે અને આ દેશને મેં મારો માની સ્વીકાર્યો છે.
ભારતે મારા જીવનનો પાયો ચણ્યો અને અમેરિકાએ મારું જીવન સાર્થક કર્યું છે. મેં બહુ ભૌતિક સફળતા કે મહત્વતા પ્રાપ્ત નથી કરી પરંતુ સુખી જીવન ગાળ્યું તે માટે મારી માતૃભૂમી ભારત અને અપનાવેલ દેશ અમેરિકાનો કૃતજ્ઞ છું. મારી આવતીકાલની હયાતીની અપેક્ષા-થેલી ખાલી છે. એક દિવસ મારા જીવનનાં ઝરણાં મૃત્યુ રૂપે સમુદ્રમાં મળી જશે ત્યારે, છેલ્લી ક્ષ્ણોમાં, હું સ્થિતપ્રજ્ઞ રહું તે ઉમેદ સાથે વાંચક નો આભાર માનું છું, તેમની વિદાય લઉં છું.
હવે પછી – આ શ્રેણીનું અતિમ સોપાનઃ અરવિંદ સી. થેકડી – અમદાવાદથી અમેરિકા
-
પેકેટબંધ ફુડ પર ચેતવણીનું લેબલ કેટલું અસરકારક?
નિસબત
ચંદુ મહેરિયા
૨૦૨૫નું ભારતનું પેકેટમાં બંધ ખાદ્યપદાર્થોના વેચાણનું બજાર આશરે ૫૩૫ બિલિયન અમેરિકી ડોલરનું હતું. ૨૦૨૨-૨૩માં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગની નિકાસ ૧૩ ટકા વધીને ૧૯.૬૯ બિલિયન અમેરિકી ડોલરની થઈ હતી.તો વિદેશી રોકાણ ૧૨.૪૬ બિલિયન ડોલર થયું હતું. આ વિગતો એ વાસ્તવ તરફ નિર્દેશ કરે છે કે પેકેજ્ડ ફુડની માંગ કેટલી મોટી છે અને તેનો ઉપયોગ માત્ર ભારતના લોકો જ નહીં વિદેશીઓ પણ કરે છે.
જીવન શૈલીમાં બદલાવ, વધતું શહેરીકરણ અને ભાગદોડ ભરી જિંદગીમાં માનવી સુખેથી ઘરનો રોટલો ખાઈ શકતો નથી. એટલે તે પેકેટબંધ ખાદ્ય પદાર્થો કે રેડી તુ ઈટના ભરોસે રહે છે. પેકેટ બંધ ખાદ્ય પદાર્થોમાં લગભગ બધું જ ખાવાનું મળી રહે છે અને ગરીબો, નિમ્ન મદ્યમ વર્ગ અને મદ્યમ વર્ગને તે પોસાય તેવી કિમતનું હોય છે. ઘરનું ખાવાનું છોડીને બજારનું ખાવાનું કંઈ બધાને પસંદ જ છે એવું નથી પરંતુ મજબૂરી ય છે. બજારના રૂપાળાં પેકેજમાં અને સ્વાદિષ્ટ લાગતા આ જાતભાતના નાસ્તા કેલેરીથી ભરપૂર હોય છે. તે કાર્બોહાઈડ્રેટ, મીઠું, ખાંડ અને ચરબીયુક્ત હોય છે. આવા બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો રુગ્ણતા અને શારીરિક તકલીફોનું કારણ બને છે. ડાયાયાબિટિસ, લોહીનું દબાણ, શ્વસન સંબંધી બીમારી, હ્રદયરોગ અને વજનમાં વધારો તેને કારણે થતા રોગો છે. એટલે ભારતસહિત દુનિયાના ઘણા દેશોએ તેની સામે નિયંત્રક પગલાં લેવાં શરૂ કર્યાં છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી ભારતની સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરી અને સૂચન પછી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા( FSSAI)એ હવે ઉત્પાદકોને પેકેજ્ડ ફુડના પેકેટ પર ચેતવણી સૂચક લેબલ લગાવવાની ફરજ પાડી છે. હવે કંપનીઓએ પેકેટના ફ્રન્ટ ઓફ પેકમાં ખાદ્ય ચીજોમાં ખાંડ, મીઠું અને ફેટનું પ્રમાણ દર્શાવીને ગ્રાહકોને તે કેટલું પોસ્ટિક છે તેનાથી અવગત કરાવવાના છે. તેનાથી સરકારને જાહેર આરોગ્યની જાળવણીમાં મદદ મળશે.
પેકેજ્ડ ફુડ આરોગતા લોકો અનેક શારીરિક મુશ્કેલીઓનો ભોગ બની રહ્યા છે. બાળકો, વૃધ્ધો અને બીજા પર આધારિત કે ઘરે રસોઈ ન કરી શકતા લોકો આ પ્રકારના ખોરાકનું વધારે સેવન કરે છે અને તેઓ જ વધુ મુશ્કેલીઓ વેઠે છે.૨૦૨૫-૨૬ના વર્ષની અંદાજપત્ર સમીક્ષામાં જણાવ્યૂ ં હતું કે પ્રોસેસ્ડ ખાદ્ય ચીજોના વેચાણમા6 ૧૫૦ ટકાનો વધારો થયો છે. રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષન્માં દેશમાં ૨૩ ટકા પુરુષો અને ૨૪ ટક અમહિલાઓ વધારે પડતું વજન ધરાવે છે તેનું કારણ પેકેટ બંધ ખાવાનું છે. પેકેજ્ડ ફુડ નએ તેની આરોગ્ય પર થતી અસર્પ્થી દેશનો આરોગ્ય સંભાળનો ખર્ચ અવધે છે. અને જાહેર નાણા પર લાંબા ગાળાનું દબાળ ઉભું થાય છે.
વ્યક્તિના ખાનપાનના મામલામાં સરકારી દખલ સારી બાબત નથી પરંતુ જ્યારે તે લોકોનું આરોગ્ય બગાડતું હોય અને સરકારી નાણાનો વ્યય થતો હોય તો સરકાર મૌન રહી શકે નહીં. વળી કંપનીઓ વેચાણ માટે જૂઠ્ઠા અને ભામક દાવા કરે છે. સો ટકા નેચરલ, પ્રાકૃતિક, ઝીરો પર્સન્ટ મેંદો, જૈવિક , શુગર ફ્રી જેવા દાવાઓ બોગસ પુરવાર થાય છે. એટલે સરકારોએ લોકોને સ્વસ્થ ભોજનની પસંદગી માટે દિશાનિર્દેશો જારી કર્યા છે. અમેરિકાની માઈ પ્લેટ ,આસ્ટ્રેલિયાની ગાઈડ ટુ હેલ્ધી ઈટિંગ તેના ઉદાહરણો છે. પોષણયુક્ત આહારમાં શાકભાજી, અનાજ , ફળ, ઓછી ચરબીયુક્ત માંસ, માછલી, મરઘી, ઈંડા , દૂધ, દહીં અને પનીરનો ઉપયોગ થઈ શકે છે, તેવું નાગરિકોને ભોજન સંબંધી માર્ગદર્શન સરકારોએ પૂરું પાડ્યું છે.
ચીલીએ ચેતવણી લેબલોના માર્કેટિંગને પ્રતિબંધો સાથે જોડ્યું છે. અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને પોષણ લેબલ લગાવવું અનિવાર્ય કર્યું છે., મીઠું, ખાંડ અને ચરબીના પ્રમાણને અલ્પ, મદ્યમ અને ઉચ્ચની કેટેગરીમાં દર્શાવ્વા જણાવ્યું છે.,અમેરિકી સરકારનું તારણ છે કે દેશનું આરોગ્ય સંભાળનું ખર્ચ વરસે ૪.૫ ટ્રિલિયન ડોલર છે તેનું કારણ ચરબી, ખાંડ અને નમકના વધુ સેવનથી ૬૦ ટકા અમેરિકનો ઓછામાં ઓછી એક લાંબી બીમારીથી પીડાય છે, તે છે. એટલે સરકાર સજાગ બની છે અને લોકોને પણ ચેતવી રહી છે, જાગ્રત કરી રહી છે. જો વિશ્વના અમીર દેશ અમેરિકાની આ સ્થિતિ હોય તો ૧૪૦ કરોડની વસ્તીના દેશે તો જાગવું જ જોઈએ.
વિશ્વના ૯૫ દેશોમાં પ્રોસેસ્ડ ઉત્પાદનોના પેકેટો પર પોષક તત્વોની ઘોષણા કરવી અનિવાર્ય બનાવી છે. તેમાં યુરોપના ૪૧, અમેરિકાના ૧૯ અને આફ્રિકાના ૯ દેશોનો સમાવેશ થાય છે. પરંતુ આ યાદીમાં એશિયાના માત્ર ૫ જ દેશો છે. ભારતમાં મોટી કમાણી કરતા આ ઉદ્યોગના દબાણ આગળ સરકાર નરમ છે. બિનચેપી રોગો પર નિયંત્રણ માટેના ભારત સરકારના ૨૦૧૭ના એકશન પ્લાનમાં ચરબી, ખાંડ અને મીઠાનો ઉપયોગ ઓછો કરવા લેબલિંગની ભલામણ કરી હતી.પરંતુ FSSAI ઉદ્યોગાના વિરોધ સામે પરામર્શનમાં જ સમય વેડફતું રહ્યું હતું. કંપનીઓની ભ્રામક જાહેરાતો સામે પણ ખાસ પગલાં લેવાયા નથી હવે સુપ્રીમ કોર્ટના સૂચન પછી લેબલિંગ માટે પગલાં ભર્યા છે. પરંતુ લેબલ કોઈ જાદૂઈ ચિરાગ નથી કે તે લગાડી દેવાથી સમસ્યા સંપૂર્ણ હલ થઈ જવાની છે. જ્યારે આ પ્રોસેસ્ડ ફુડનું માર્કેટિંગ જોરદાર છે, નિકાસ અને વિદેશી રોકાણ વધી રહ્યાં છ્યે ત્યારે લેબલ જેવાં નરમ પગલાંથી પ્રશ્ન હલ થવાનો નથી.
સરકારે ઉત્પાદકોના ભ્રામક દાવ સામે કડક દેખરેખ રાખવી જોઈએ. બાળ આહારમાં જોવા મળતા વધુ ફેટ, ખાંડ , નમક હરગીઝ માફ કરી શકાય નહીં. ડિજિટલ મીડિયા પર બાળકોને ધ્યાનમાં રાખીને કરાતા પ્રચાર પર પ્રતિબંધ મૂકવા સુધીના આકરા પગલાં લેવાની જરૂર છે. HFSS(હાઈફેટ, શુગર , સોલ્ટ) વાળા ફૂડ પેકેટ પર લેબલિંગ અનિવાર્ય કરવાની તાતી જરૂર રહે છે.
ખોરાકમાં જોખમી કારકોના કારણે દુનિયામાં હ્રદયરોગથી વરસે દહાડે ૮ મિલિયન લોકોના મોત થાય છે. સ્નેક્સ કે ફુડ માનવીના આરોગ્ય માટે છે, શરીરને ટકાવવા માટે છે.તે બીમારી કે મોતનું કારણ ન બની શકે. અમેરિકાએ ૧૯૭૨માં પોષણ સંબંધી જાણકારી જાહેર કરતાં લેબલ લગાવવાના નિયમો ઘડ્યા હતા ત્યારે ભારત હજુ હવે જાગ્યું છે. માત્ર પેકેજ્ડ ફુડ જ નહીં પેકેજિંગમાં વપરાતી હાનિકારક ચીજો પણ વિચાર માંગી લે છે. કેક બોક્સ, મીઠાઈના ડબ્બા, ફુડ પાર્સલ, સ્નેક પાઉચ વગેરેનું પેકિંગ સ્ટેપલરની ધાતુની પિન અને તારથી કરવામાં આવે છે. તે પણ ખતરનાક છે. પેકેટની અંદરની ખાદ્ય સામગ્રી અને પેકિંગ માટે વપરાયેલી વસ્તુઓ બંને નુકસાન કારક છે.એટલે સરકારોએ લોકોને આ બધાથી બચાવવાના છે તો લોકોએ વધુ સજાગ બનવાનું છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
નાતાલની તે રાત…
આસપાસ – ચોપાસ
કંઈક વાંચેલું, કંઈક સાંભળેલું
કેપ્ટન નરેન્દ્ર ફણસે
હું ઑક્સફર્ડ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતો હતો ત્યારની વાત છે. મૉડલેન (આની જોડણી તેના ઉચ્ચારથી ‘સહેજ’ જુદી છે : Magdalen) કૉલેજમાં મારો પરિચય એક સ્કૉટીશ વિદ્યાર્થી સાથે થયો. સમય જતાં અમે ગાઢ મિત્રો થયા. એક વર્ષના ડિસેમ્બરમાં તેણે મને પૂછ્યું, “આ વર્ષે નાતાલની રજામાં તું ક્યાંય જવાનો છે?”
મેં ના કહી.
“અરે, નાતાલનો તહેવાર તો પરિવાર સાથે ગાળવાનો હોય. તું આ વર્ષે અમારે ઘેર આવ. મજા પડશે. અમારી ક્લૅનના લોકો આ વર્ષે અમારે ત્યાં આવવાના છે. તારો પણ સમય સારી રીતે વિતી જશે.”
હું તૈયાર તો થયો, પણ વિચાર આવ્યો, તેના પરિવારના લોકો આવવાના હોય તો મારા માટે તેના ઘરમાં જગ્યાની સંકડાશ….”
“એની ચિંતા ના કરીશ. તારી વ્યવસ્થા થઈ જશે.,” તેણે કહ્યું.
હું તેને ગામ પહોંચ્યો અને તેનું ‘ઘર’ જોઈને ચકરાઈ ગયો! તેનું ઘર એટલે એક મોટો પુરાતન કિલ્લો હતો! મને ત્યારે ખબર પડી કે તેના પિતા સ્કૉટીશ લૉર્ડ હતા. તેણે મારી ઉતરવાની વ્યવસ્થા પહેલા માળની ડાબી પાંખમાં કરી હતી. તેના એક અનુચરે મારી બૅગ લીધી અને મને તેની પાછળ જવાનું કહ્યું. હું તો જોતો જ રહી ગયો. એક વિશાળ દાદરાનાં પગથિયાં ચઢતી વખતે દિવાલ પર મિત્રના વડવાઓનાં મોટાં તૈલચિત્રો હતાં. લૉબીમાં જુના જમાનાનાં Knightsનાં પુરાં બૉડી આર્મર (આખું શરીર ઢંકાય તેવા લોખંડના બખ્તર), બાજુમાં લાંબા ભાલા અને જુના હથિયાર ગોઠવ્યાં હતાં. લૉબીની બન્ને બાજુએ કમરા હતા. મને મળેલો કમરો ખાસ્સો મોટો હતો અને તેમાં જબરજસ્ત પલંગ અને કિમતી ફર્નીચર હતું.
મિત્રના ઘેર ઉજવાયેલો નાતાલનો ઉત્સવ અનોખો હતો. ૨૪મીની રાતે કિલ્લામાં આવેલા નાનકડા ચૅપલમાં મધ્યરાત્રીએ ભગવાન ઈસુના જન્મ પ્રસંગની સામુહિક પ્રાર્થનામાં અમે સૌએ ભાગ લીધો. બીજા દિવસે – નાતાલના દિવસે એકબીજાને ભેટ આપી અને ભવ્ય લંચ પાર્ટી થઈ.
ત્યાર પછીના દિવસોમાં અમે મિત્રની એસ્ટેટની મુલાકાત લીધી. સ્કૉટલન્ડમાં સારો એવો બરફ પડ્યો હતો, તેમ છતાં ત્યાંનું સૌંદર્ય અદ્ભૂત હતું. હવે આવી નુતન વર્ષ અગાઉની સંધ્યા.
તે રાત્રે કિલ્લાના ડાન્સ હૉલમાં ફૅન્સી ડ્રેસ પાર્ટી હતી. નૃત્યમંદિરમાં પ્રથમ બૅગપાઈપ્સ વગાડતા પાઈપર્સ આવ્યા અને તેમની પાછળ મિત્રના માતા- પિતા લેડી અને લૉર્ડ XXX આવ્યા. ત્યાર બાદ જેમ જેમ મહેમાન આવતા ગયા, તેમનો માસ્ટર ઑફ સેરીમનીઝ તેમનાં નામ પોકારતો ગયો. સૌએ વિવિધ પ્રકારના એટલે સત્તરમી અને અઢારમી સદીમાં ઉમરાવો પહેરતા તેવા, તો કોઈએ ફ્રેન્ચ ઉમરાવના પોશાક પહેર્યા હતાં. હું મારી સાથે જોધપુરી બંધ ગળાનો કોટ, સુરવાલ અને જયપુરી સાફો લઈ ગયો હતો, તે પરિધાન કર્યાં. સઘળા મહેમાનો આવી ગયા બાદ શરૂ થયા સ્ટ્રીંગ બૅન્ડના સૂર. યુગલોએ જોડી જોડીમાં બૅન્ડના સૂર-તાલમાં બૉલરૂમ-નૃત્ય કર્યાં. કેટલાક લોકો બારમાં બેસી પીણાં સાથે નૃત્ય જોતાં હતા.
મધરાત થઈ. નવા વર્ષનું આગમન જાહેર કરતા ઘડિયાળના ડંકા વાગ્યા અને અમે સૌએ Auld lang syne ગાયું – જે તેના અર્થ સાથે આપ અહીં સાંભળી શકશો.
હું થાકી ગયો હતો. મિત્રની માફી માગી હું મારા કમરા તરફ જવા નીકળ્યો. દાદરાનાં પગથિયાં ચઢી મારા કમરા તરફ વળ્યો ત્યાં સામેના ઓરડામાં પ્રવેશ કરવા જતા એક સજ્જન દેખાયા. ફૅન્સી ડ્રેસ પાર્ટી હતી તેથી તેમણે બ્રિટનના રાજા પ્રથમ ચાર્લ્સની ફૅશનમાં બનાવેલો પોશાક પહેર્યો હતો. મેં તેમનું અભિવાદન કર્યું. તેમણે સ્મિત કરીને જવાબ આપ્યો.
“થાકી ગયા?” તેમણે પૂછ્યું. જેવો જુના જમાનાનો પોશાકની તેવી ભાષા જુના જમાનાની શૈલીની. આ અહીંના લોકોની ખુબી છે. અનુકરણ કરવું તો પૂરી રીતે !
“સાચું કહું તો મને કંટાળો આવ્યો હતો. બહાનું કાઢીને આવતો રહ્યો. આપ?” મેં પૂછ્યું.
“હું પણ કંટાળી ગયો છું. બધા નૃત્યમાં એટલા મશગુલ છે, કોઈને વાત કરવાનો સમય નથી, અને હું ગપ્પાં મારવાના મૂડમાં છું.”
“તો આવો ને મારા કમરામાં! મારો પણ સમય નીકળી જશે,” મેં કહ્યું.
અમે એક બીજાને અમારો પરિચય આપ્યો. સજ્જને તેમનું નામ જીમ કહ્યું. જીમ એટલે જેમ્સનું ટૂંકું, હુલામણું નામાંતર. અમે ઘણી વાતો કરી. રાતના બે ક્યારે વાગી ગયા તેની ખબર ન પડી. મને હવે ઉંઘ આવવા લાગી હતી. મારી સ્થિતિ જીમ સમજી ગયો હોય તેવું લાગ્યું. તેણે તેના જૅકેટની લાંબી બાંયમાં ગડી કરી રાખેલો રૂમાલ કાઢ્યો અને બગાસું રોકવાનો પ્રયત્ન કરતો હોય તેમ રૂમાલ મોઢા સુધી લઈ જઈને બોલ્યો, “ તમારો ઘણો સમય લીધો. મારે પણ હવે જવું જોઈએ. આવજો ત્યારે. ગુડ નાઈટ!”
જીમ ઉભો થયો અને બારણાની નજીક ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે બારણાંની ફ્રેમ કરતાં જીમ ઘણો લાંબો હતો.
‘ઓહ, જીમ, જરા માથું સંભાળજો. બારસાખ નીચી છે. ધ્યાન નહિ રાખો તો માથું ભટકાશે,” મેં કહ્યું.
“ચિંતા ના કરશો. બારસાખ નીચી હોય તો હું આમ નીકળું છું, “ કહી જીમે જમણા હાથ વતી પોતાનું ગળું પકડ્યું અને આબાદ રીતે વિજળીનો ગોળો ઉતારતો હોય તેમ માથું ઉતાર્યું અને ડાબા હાથની હથેળી પર રાખ્યું. તેના હાથ પરના તેનાં માથાએ મારા તરફ જોઈ તેની આખી બત્રીસી બતાવતું સ્મિત કર્યું અને ક્ષણાર્ધમાં તે મારા કમરામાંથી હવાની જેમ અદૃશ્ય થઈ ગયો. મારા મોઢેથી ચિસ નીકળી ગઈ.
એકાદ-બે મિનીટ બાદ મારો મિત્ર અને તેની સાથે એક નોકર મારા કમરામાં દોડતા આવ્યાં. હું હજી ડરના માર્યાં ધ્રુજતો હતો. તેણે મને સાઈડબોર્ડ પર રાખેલી બાટલીમાંથી સ્કૉચનો શૉટ ગ્લાસમાં રેડ્યો અને ગટગટાવી જવા કહ્યું. સ્વસ્થ થયા બાદ ધીમે ધીમે મેં તેને જીમની વાત કરી તો તેણે હસીને કહ્યું, “ઓ હ, મારે તને અમારા પૂર્વજ સર જેમ્સના ભૂતની વાત કરવી જોઈતી હતી. તારી રૂમ બહારની કૉરીડોરમાં તેમનું અપાર્થિવ શરીર કોઈ કોઈ વાર ભટકતું હોય છે. તું ગભરાઈ જઈશ એટલે તને કહ્યું નહોતું. સર જેમ્સ સાવ નિર્દોષ અને ભલા સજ્જન હતા. તેમના રાજકીય દ્વેષીએ તેમના સમયની રાણી એલિઝાબેથ પ્રથમ પાસે ખોટી ચાડી ખાઈ તેમનો શિરચ્છેદ કરાવ્યો હતો. કોઈ વાર તારા જેવો સાલસ માણસ મળી જાય તો તેની સાથે વાત કરવા રોકાતા હોય છે! આમ જોવા જઈએ તો તું ભાગ્યશાળી કહેવાય. સર જેમ્સને મળવાનું સૌભાગ્ય મને હજી સુધી પ્રાપ્ત નથી થયું!”
***
મારો થરથરાટ હજી ઓછો થયો નહોતો. મારા મિત્રે હવે તેના ગ્લાસમાં વિસ્કી રેડી અને એક ઘૂંટડો લઈને વાત માંડી.
“તેં વુધરીંગ હાઈટ્સ વાંચી છે તેથી યૉર્કશાયરના આ moorsના વેરાન પ્રદેશોના વર્ણનથી વાકેફ હોઈશ. આ વગડામાં અમારા દૂરના કાકાનું કન્ટ્રી હાઉસ છે. તેમને મળવા લંડનથી એક સંબંધી ગયા. તેમણે સ્ટેશન પર ગાડી મોકલવા માટે કરેલો તાર તેમના યજમાનને મળ્યો નહોતો, તેથી તેમણે ચાલતાં જવાનું નક્કી કર્યું. હવેલી પાંચ માઈલ જ દૂર હતી. ચાંદની રાત હતી અને વાતાવરણ ખુશનૂમા. સ્ટેશનના ક્લોકરૂમમાં સામાન મૂકી તેઓ નીકળતા હતા ત્યાં સ્ટેશનમાસ્તરે કહ્યું, ‘અહીંના મોસમનો ભરોસો નથી. ગમે ત્યારે વરસાદ, કરા અને બરફ પડવા લાગે છે. આવું થાય તો એક વાતનો ખ્યાલ રાખજો. તમે જાવ છે તે દિશામાં જનારી કોઈ બગ્ગી કે ઘોડાગાડી જતી હોય તો તેને રોકતા નહિ. તમને જોઈ તે રોકાય તો પણ તેમાં બેસતા નહિ.’
મહેમાન શહેરવાસી હતા. તેમણે આ વાત પર ધ્યાન ન આપ્યું અને ચાલવાનું શરૂ કર્યું, તેઓ માંડ બે માઈલ ગયા હશે ત્યાં અચાનક વરસાદ અને કરા પડવા લાગ્યા. આમ તો પાનખર ઋતુ હતી પણ હવે બરફ પડવા લાગ્યો અને તેની સાથે વાવાઝોડું શરૂ થયું. આ શહેરી જણ હેરતમાં પડી ગયા. હવે તો આગળનો રસ્તો પણ વર્તાતો નહોતો. તેવામાં તેમણે ઘોડાંઓનાં ગળામાં બંધાતા ઘૂઘરાંઓનો અવાજ સાંભળ્યો. તેઓ રસ્તાને કિનારે ઉભા રહ્યા અને જોયું તો તેઓ જે જગ્યાએ જઈ રહ્યા હતા તે દિશામાં જઈ રહેલી ચાર ઘોડાંની બગ્ગીના ઓળા દેખાયા. બગ્ગી નજીક આવી ત્યારે તેમણે રસ્તાની વચ્ચે ઉભા રહી તેને રોકવા હાથ હલાવ્યો. ગાડી ઉભી રહી. તેમણે ઝડપથી દરવાજો ખોલ્યો અને અંદર બેસી ગયા. બાજુમાં બેઠેલા સજ્જનનો આભાર માનવા તેમની તરફ જોયું અને તેમનો શ્વાસ થંભી ગયો. કાળા પોશાકમાં બેઠેલા આ ‘સજ્જન’ અને તેમના બે સાથીઓ મૃત વ્યક્તિઓ હતી! બધાં પૂતળાંની જેમ જડ હાલતમાં ફાટી આંખોએ નાકની સામેની દિશામાં જોતી બેઠી હતી. શું કરવું તે સમજાય તે પહેલાં બગ્ગી જાણે હવામાં ઉડતી હોય તેમ ભારે ગતિએ દોડવા લાગી.
“શહેરી પ્રવાસી એક ક્ષણ વિકળ થઈ ગયા. માણસને જ્યારે ભયાનક ડર લાગે, તે થીજી જતો હોય છે. શરીર ઠરીને નિષ્ક્રિય થઈ જાય તે પહેલાંં તેમણે સમયસૂચકતા દાખવી. તેમણે ઝટ દઈને ગાડીનંુ બારણું ખોલ્યું અને બહાર કૂદી ગયા. જમીન પર પડતાં વેંત તેઓ બેભાન થઈ ગયા. બીજા દિવસે તેમને ભાન આવ્યું અને જોયું તો તેઓ તેમના યજમાનની હવેલીની બેડરૂમમાં હતા અને તેમની પાસે ઉભેલા ડૉક્ટર તેમના હાથની નાડી તપાસી રહ્યા હતા.
“તેમના યજમાને કહ્યું, ‘ખરાબ હવામાનને કારણે તમારો તાર અમને મોડો મળ્યો, પણ અમે તરત અમારી લૅન્ડ રોવર મોકલી. તમને રસ્તાના કિનારે પડેલા જોયા અને અમારો શૉફર અને તેનો સાથી તમને ઉંચકીને અહીં લઈ આવ્યા. રસ્તામાં શું થયું કે તમે બેભાન થઈ ગયા?’
“તેમણે જ્યારે વિસ્તારથી વાત કરી ત્યારે તેમણે કહ્યું, ‘આ ભૂતિયા બગ્ગીની આખ્યાયીકાથી અહીંના સઘળાં લોકો વાકેફ છે. સોએક વર્ષ પહેલાં આવું ઘણી વાર થતું અને રસ્તાની પાસે બગ્ગીમાંથી કૂદીને બહાર પડેલા લોકોનાં શબ મળી આવતા. પણ છેલ્લા પચીસ-પચાસ વર્ષથી આવું બન્યું નથી. તમે ભાગ્યશાળી છો કે તમે બચી ગયા!”
***
મારી પોતાની વાત કરૂં તો મારા મિત્રની ‘કથા’ઓ સાંભળી તેના કિલ્લામાં એક દિવસ પણ વધારે રહેવું મારા આરોગ્ય માટે અહિતકર લાગ્યું. બીજા દિવસે સવારના પહોરમાં તેની રજા લઈ હું પાછો ઑક્સફર્ડ જતો રહ્યો.
હવે તમે જ કહો. આ અનુભવ પછી મારા મિત્રની મહેનમાનગતિ માણવાનું આમંત્રણ મારે સ્વીકારવું જોઈએ?
***
ઉપરની પ્રસંગ કથાઓ ૧૯૫૬ કે ૫૭માં ઈલસ્ટ્રેટેડ વિક્લી અૉફ ઈન્ડિયામાં ‘રોમેશ’ તખલ્લુસથી લખતા એક લોકપ્રિય લેખકની Causerie નામની કટારમાં પ્રસિદ્ધ થઈ હતી. જિપ્સી તે ભુલી શક્યો નથી. બહુશ્રુત અને વિદ્વાન એવા રોમેશનું સાચું નામ કોઈ જાણી શક્યું નહિ, પણ તેમની વાતો પરથી એવું લાગતું હતું કે તેઓ કદાચ ICS અફસર હતા.
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
સંભારણું – ૧૯ : ૭૫ મી વર્ષગાંઠ
શૈલા મુન્શાઅમેરિકાના ત્રેવીસ વર્ષના વસવાટ પછી પાછા ભારત જઈ વસવાનું નક્કી કર્યું. એ નિર્ણય ખરેખર યોગ્ય સમયે લીધો અને એ સત્ય સાબિત થયું.
અત્યારે ભારતમાં વયસ્ક નાગરિકો માટે એટલી બધી સગવડ છે કે એકલા માણસને પણ રહેવાની કોઈ તકલીફ ના પડે. ઘરના દરવાજે બધી વસ્તુ મળી જાય. દુધવાળો ઘરે આવે, ઈસ્ત્રીના કપડાં લેવા ઘરે આવે. લેબ વર્ક માટે લોહી વગેરે ઘરે આવી લઈ જાય અને રિપોર્ટ પણ ફોનમાં આવી જાય. બ્લિન્કીટ, બીગ બાસ્કેટ, એમેઝોન જેવી વેબ સાઈટ પરથી શાકભાજીથી માંડી જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ ઘરના દરવાજે ઉપલબ્ધ હોય. ઘરના કામ માટે નોકર, અને ગાડી હોય તો ડ્રાઈવર અને નહિ તો ઉબર, ઓલા જેવી રીક્ષા, ટેક્ષી હાજર. જીવન જીવવું સહજ બની જાય. વાતચીત કરવા અને ધ્યાન રાખવા પાડોશી.
મારૂં જીવન પણ સરસ ગોઠવાઈ ગયું હતું. સાહિત્યની મારી ગમતી પ્રવૃતિ મળી ગઈ હતી, પણ સંતાનો હજી અમેરિકા અને કેનેડામાં હતા અને આ વર્ષે મારા જીવન અધ્યાયના ૭૫ વર્ષ પૂરાં થતા હતાં એટલે મારી પુત્રવધૂ (જે મારી દીકરી જ છે) દીકરાની પ્રબળ ઈચ્છા હતી કે હું અમેરિકા આવું. મારા જમાઈ દીકરી અને ખાસ તો પૌત્રી પણ આગ્રહ કરી રહ્યાં હતા.એમની આ પ્રેમાળ લાગણી સામે મારે નમતું જોખવું પડ્યું.
ન્યુ જર્સી મારા દીકરા વહુને ત્યાં આવી અને ઘર આખું મારા જન્મદિવસની ઉજવણી માટે શણગાર્યું હતું હજી એ અચંબામાંથી બહાર આવું ત્યાં તો બે દિવસ પછી જન્મદિવસની ઉજવણી ભાગ બીજો, મને બહામાસ ક્રુઝની ચાર દિવસની સફરની ભેટ.
મને ૨૦૦૦ની સાલ યાદ આવી ગઈ જ્યારે “કહો ના પ્યાર હૈ” પિક્ચર આવ્યું હતું, ત્યારથી મનમાં એક ઈચ્છા હતી કે દરિયા પર તરતું એક નગર અને એ મઝા મારે પણ માણવી છે! વિશાળકાય આગબોટના નવમા માળે અમારી રુમ હતી. પંદરમાં માળ પર ખાનપાન જોતા ધરાવ નહિ અને ખાતાં ધરાવ નહિ. એકવાર આગબોટમાં દાખલ થાવ એટલે એક અજાયબ જાદુઈ નગરીમાં આવી ગયા હો એવું લાગે. ચાર હજાર જેટલા પ્રવાસી અને ૧૬૦૦ જેટલા આગબોટ સંચાલન કરનાર અને સેવકો પણ ખબર જ ના પડે કે આટલા બધાં માણસો જહાજ પર છે. આગબોટ દરિયાની છાતી ચીરી આગળ વધતી જાય પણ આપણા પેટનું પાણી પણ ના હાલે. રમત ગમત, નાટકના શો, નાચગાન સહુ પોતાની મસ્તીમાં મશગુલ. બાલક્નીમાં બેઠા બેઠા દરિયાના પાણીના બદલાતા રંગ, સાથે સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાની મઝા. અકાશના અવનવા રંગો૧ ઓહોહો! હજી જાણે હું કેફમાંથી બહાર નથી આવી.
ન્યુ જર્સીથી મારી દીકરીને ત્યાં ગઈ તો જાણે મારું બાળપણ પાછું આવી ગયું. મીઠડી એવી મારી પૌત્રી નાની નાની કરતી મારી આસપાસ ઘૂમતી રહી. નાની મને શીરો બહુ ભાવે, બનાવશોને? હુમ તમને મારા હાથે પાસ્તા બનાવીને ખવડાવીશ. નાનિ મારે લઝાનિયા ખાવા છે, એવી તો કેટલીય ફરમાઈશ!
નાની કાલે આપણે ફરવા જશું પછી હું તમને સરસ હોટલમાં લઈ જઈશ. તમને કયું પરફ્યુમ ગમે એવી લાડભરી વાતો. હોટેલ પાસે પહોંચ્યા તો પપ્પાને કહે “તમે નાનીને ટિમ હોર્ટનની કોફી તો ચખાડો” કોફી પીને અમે હોટલમાં અંદર પહોંચ્યા તો મારા જન્મદિવસની તૈયારી. મને ભાવતી કેક અને મીણબત્તીથી ટેબલ શણગારેલું. ભેટ સોગાદ તૈયાર. મારી દીકરી બે વર્ષ પર મને મળવા ભારત આવી હતી ત્યારે સહજ જ વાત નીકળતાં મેં કહ્યું હતું કે “મારા કાનનું કાણું મોટું થઈ ગયું છે એટલે કોઈ બુટ્ટી પહેરાતી નથી” એ વાત એને યાદ હતી એટલે દીકરી જમાઈએ હીરાની કડી ભેટમાં આપી.એક મહિનાની યાત્રામાં હ્યુસ્ટન આવી તો મારી બહેન બનેવી અમારું મિત્રમંડળ, બસ રોજ જન્મદિવસ ઉજવાતો રહ્યો. ખરે જ આ મારું સૌભાગ્ય આટલો પ્રેમભાવ બાળકો બહેન મિત્રો તરફથી મળ્યો.
આ જન્મદિવસ મારા માટે જીવનભરનું સંભારણું છે જેની શરૂઆત વડોદરા મારા ભાણેજ અને એના કુટુંબથી થઈ અને હજી તો ભારત પાચી ફરીશ ત્યારે મુંબઈ મારા મિત્રો આ પ્લેટીનમ જન્મદિવસ મારી સાથે ઉજવવા આતુરતાપૂર્વક મારી રાહ જોઈ રહ્યાં છે…….
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
“…સોનું એટલે આમતો પિત્તળ જ ને”
સોરઠની સોડમ
ડો. દિનેશ વૈષ્ણવ

મારી પાંચેક વરસની ઉંમરે મારાં માં હારે મારા સંવાદને “…સોનુ એટલે આમતો પિત્તળ જ ને” આજ સાતથી વધુ દાયકે ગર્ભાશય માંથી બા’ર કાઢું છ કારણ કે ૧૯૫૦ના દસકે સોળવલ્લો ટ્રોય તોલા (૧૧.૬૬ ગ્રામ) સોનાનો ભાવ રૂ. ૮૦-૧૦૦ વચ્ચે હતો ને આજ ૧૦ ગ્રામના તોલાનો ભાવ દોઢેક લાખ છે.
… તો વાત એમ છે કે ૧૯૫૪માં પપ્પાની બદલી દેલવાડાથી મેંદરડા થઇ ને અમે એને અમારું નવું પણ પોતાનું ગામ ગણ્યું કારણ કે કાઠિયાવાડની તસુ એ તસુ ભોમકા કાયમ કે’તી જ હોય છ, “મારી કાઠિયાવાડમાં કોક દી‘ તું ભૂલો પડ ભગવાન, તારાં એવાં કરું સન્નમાન કે તને સરગ ભૂલાવું શામળા.” આ ગામમાં અમારું પાંચેક ઓયડા, રસોડું, બાથરૂમ, અગાસી, રવેસ, વ. સગવડ વાળું ઘર માધુવંતી નદીની ધારે એક રળિયામણા દરબારગઢમાં હતું કે જેમાં નીચલા માળે સરકારી દવાખાનું હતું. દરબારગઢ હતો એટલે સૌથી આગળ ખીલા જડબેલો બે દરવાજાનો મૂળ ડેલો, પછી એક બીજો નાનો ડેલો ને માય “ગોઠણ ડેલી” ને એક ચોગાન એમ વટાવી ને અમારે ઘેર ને દવાખાને પુગાય.
આખા દરબાર ગઢમાં મૂળ ડેલા માય અમારા દી’રાત પાડોસી ઈ તાલુકા શાળામાં શિક્ષક બળદેવભાઈ જાની પરિવાર ને દી’ના ભાગે અલગ ચારેક ઓયડામાં ચાર ધોરણ લગીની રામકુંવરબેનની કન્યાશાળા બેસતી. મૂળ ડેલાની બાર ડાબી કોર આઘેરી ગામની મિડલસ્કૂલ, બે ઓયડીની જેલ ને ગર્યમાં માલધારીઓના ગોર પરસોતમભાઇ-નનકુબેનનો પરિવાર ને જમણી કોર સોનીનો વિશાળ ડેલો. આ ડેલામાં બે પરજીયા સોની ભાયું નાથાભાઈ-અરજણભાઈનો માયાળુ પરિવાર ઢોરઢાંખર હારે વસે. આ સંયુક્ત પરિવારમાં દીકરા, દીકરી, વહુઓ, પૌત્રો, પૌત્રીઓ એમ મળીને ત્રીસેક જણાં તો હશે જ કારણ કે આજ પણ મને વીસેક નામો તો હોઠે છે.
અમારે આ સોની કટમ્બ હારે જાડો ધરોબો કારણ કે મારી બેન ને હું નિશાળેથી આવી, દફ્તર ઘરમાં ફેંકીને આ સોનીના ડેલે બબલા, રતિયા, નટીયા, હસલા, વિનિયા, લીલી, ઇન્દુ, મધુ, વ. હારે અંધારું થાય યાં લગી ઋતુ અનુસાર રમતો રમતા ને સાતમ-આઠમથી લઈને દિવાળી લગી જુગાર રમતા. મારાં માં આ છોકરાઉનાં માં ગોમતીબેન-માનકોરબેન હારે રોજ એના ઘરની ફળીમાં બેસે ને હારે શાકબકાલું ને અનાજ ને ચોમાસે બીલીપત્ર વીણે. આ ઉપરાંત અમારા ને આ સોની પરિવાર વચાળે વાટકી વ્યવહાર પણ હતો. આજ સિંતેરથી વધુ વરસે પણ સોની પરિવારના જે કોઈ હૈયાત છે એને મારી બેન ને મારી હારે એટલો જ ઘેરો નાતો છે કારણ કે અમારા સબંધના પાયા નિસ્વાર્થ ને પ્રમાણિકતાના પાણાથી પુરાણા છ.
ધંધાની નજરે મારા પપ્પા તો સરકારી દાક્તર હતા ને નાથાભાઈ-અરજણભાઈને લીમડાચોકમાં શયારી સોનીની દુકાન હતી ને ગામમાં ઈ એક જ હતી. મેંદરડામાં ત્યારે કડવા કણબી ને ધાધલ કાઠીની વસ્તી જાજી એટલે આ બેય ભાયુંને સોના-ચાંદીના ત્યારનાં ઘરેણાં જેવાં કે નથ, દામણી, સસીફુલ, બોરલો, સેર, કાંબી, કડલાં, બલોયાં, રાયણમાળા, હાંસડી, તમિયા, ઠોળીયાં, ઝૂમણાં, વ. નું સોનીકામ જાજું રે’તું. અમે તાલુકા શાળાએ જાતા ત્યારે આ દુકાન આગળથી જાતા ને જોતા કે માલીકોર ઓજારમાં નાનાંમોટાં એરણ, હથોડી, પક્કડ, મૂસ, ફૂંકણી, ટોર્ચ, તાર ને પતરાં કાઢવાનો સેગડો, ઘાટ પાડવાની ટીલડીઓ, વ. ઉપીયોગમાં લેવાતાં. આ સોની ભાયુંના દીકરા પણ પાંચસાત ધોરણ ભણીને ધંધે બેસતા. વધુમાં, આ બેય ભાયું માંથી જ – એકેય દીકરો નહીં – એક ભાઈ સવારે ને બીજો સાંજે આખી દુકાનમાં સંજવાળી કાઢે ને કણી એ કણી ધૂળ દુકાનમાં પાછળ પીપડાઓમાં ભરે.
આસો મહિનાનાં અજવાળીયાં બેસે એટલે એટલે પીપડા માંથી રોજ બેત્રણ ડબ્બા ધૂળ બેય ભાયું મધુવંતી નદીમાં પે’લાં ચાયણામાં ને પછી બે હવાલામાંથી ચાળે, ચાળણને ધોતિયામાં ભરીને તારવે, ધોવે ને પછી એને નદીના આરે પાથરીને કોરું પાડે. આમ આખા વરસની ધૂળના ચાળણના ડબ્બા ઘેર સાચવીને ભોગળવાળા ઓયડામાં ભેગા કરે. પછી દિવાળી ઉતરે, શિયાળાની શરૂઆત થાય ને મધુવંતીએથી ટાઢા પવનના સુસવાટા શરુ થાય એટલે મને, મારી બેનને ને ઈ સોની પરિવારનાં છોકરાંઉને દી’ આથમે ફાનસના અજવાળે કામે લગાડે. આ કામમાં એકેક ડબ્બામાંથી ધોયેલ ધૂળ ઘરની વડીલ સ્ત્રી સાચવીને ત્રાંસમાં ઠલવે, એને પાતળા થરે પાથરે ને અમને દીધેલ વાટકીમાં અમારે આ ધૂળ માંથી પીળી, ચળકતી કણીઓ વીણીને વાટકીમાં ભરવાની ને ધોળી ચળકતી કણીઓને ધૂળમાં જ રે’વા દેવાની. મને યાદ છે કે હું, મારી બેન ને બીજાં છોકરાંઉ પોતપોતાની વાટકીમાં રોજ દસબાર આવી પીળી, ચળકતી કણીઓ ભેગી કરતાં ને વાટકીયું ગોમતીબેનને આપી દેતાં. અમારું આ કામ પતે એટલે રોજ છાલિયું ભરીને મસાલો ચડાવેલ મમરા ને તલસાંકળીની ઢેફલી ઘરની એકાદ વહુ અમને સૌને નાસ્તો દેતી. આ ધૂળ વીણવાનું કામ લગભગ મહિનો હાલતું ને એમાં અમે નર્યો આનંદ લેતા કે જે તે દિવસે કોને સૌથી વધુ ઈ પીળી કણી ધૂળ માંથી વીણી.
વખત ગ્યો, હું ત્રીજા ધોરણમાં આવ્યો ને એમાં ગુજરાતીમાં દલપતરામની કવિતામાં “તસ્કર ખાતર પાડવા ગયા વણિકને દ્વાર…” શીખ્યો ને એમાં અમારા માસ્તર શંકરભાઈ ક્યાંક “સોનું” શબ્દ બોલ્યા. ઘેર આવીને મેં મારાં માંને પૂછ્યું કે “સોનું એટલે શુ?” માંએ એટલું જ કીધું કે “તમે સોનીના ડેલે ધૂળ વીણીને જે પીળી, ચળકતી કણીઓ કાઢો છ ઈ.” મારું સામું વિધાન, “ઠીક. સોનું એટલે આમતો પિત્તળ જ ને, આપણા થાળીવાટકા જેવું.” માંએ મારા વિધાનનો કોઈ જવાબ નો’તો દીધો. બીજું, ત્યાર પછી બેએક વરસે મને ખબર પડી કે ઈ “ધોળી ચળકતી કણીઓ” કે જે અમે ધૂળ માંથી નોતા વીણતા ઈ ચાંદી હતી.
આજ મારા જીવનનો સાતમો દાયકો પૂરો થાવામાં છે ત્યારે મને એક જ વિચાર આવે છ કે પંખીના માળા જેવા મેંદરડામાં કળજુગ ત્યારે નહિ આંબ્યો હોય નીકર ઈ સોની પરિવાર અમને ત્રાયાત છોકરાંઉને માંબાપથી મળેલ પ્રમાણિકતામાં વિશ્વાસે ઈ ધૂળ વીણવા ન બેસાડ્યા હોત. “ઈ પીળી, ચળકતી કણી વીણો ઈ પારકી થાપણ છે એટલે સાચવીને વાટકી ગોમતીબેનને હાથોહાથ સોંપજો” કે’તાં મારાં માં મને આજે પણ આ લખું છ ત્યારે હજરાહજૂર દેખાય છ.
ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
કવિથી રીસાયેલો શબ્દ
કૃષ્ણ દવેશબદ કહે જા છેટો !તું તારી ગળચટ્ટી જીભે ફરી કરીશ ના એઠો !શબદ કહે જા છેટો !જ્યાં ને ત્યાં તે મને વાપરી કુર્નિશ ઘણી બજાવીપણ તેં મારી અંદર ઉતરી જ્યોત ક’દિ પ્રગટાવી ?ઘણી સભામાં કક્ષાથી પણ મને ઉતાર્યો હેઠો !શબદ કહે જા છેટો !તું તારી ગળચટ્ટી જીભે ફરી કરીશ ના એઠો !શબદ કહે જા છેટો !મૌન ધરી તે કહ્યું ક’દિ લે હવે મને તું ગોતઘોંઘાટે તો નહીં જ પ્રગટે અસલી મારૂ પોતતારી ચાટુક્તિથી છટકી માંડ અહીં હું બેઠોશબદ કહે જા છેટો !તું તારી ગળચટ્ટી જીભે ફરી કરીશ ના એઠો !શબદ કહે જા છેટો !તા-૨૩-૫-૨૦૨૬ -
કરણ ઘેલો – ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા : પ્રકરણ – ૪થું

કર્ત્તા : નંદશંકર તુળજાશંકર
અરે રામ ! આ શું થયું ? અરે દુષ્ટ દૈવ ! આ તારો શો કોપ ? અરે ભગવાન ! મેં શું કીધું કે મારા ઉપર આટલી ઉપરાઉપરી આફત આવી પડી? રાજાએ તે દહાડે મને ગામ જવાનો હુકમ કીધો તેની મતલબ હવે સમજાઈ. તે દુષ્ટ ચંડાળનો મારૂં ઘરજ ઉખેડી નાંખવાનો વિચાર હતો, એવો કૃતઘ્ની રાજા પૃથ્વી ઉપર કોઈ થયો જ નથી અને થશે પણ નહીં. જ્યારે સારંગદેવ મરી ગયા ત્યારે તેને ગાદીએ બેસાડવાને કેટલી મહેનત કરવી પડી છે ? કેટલી યુક્તિઓ કામે લગાડવી પડી છે ? કેટલાં કાવતરાં કરવાં પડ્યાં છે ? અને એ બધું કર્યા પછી તેને ગાદી મળી ત્યારે તેણે કેવાં કેવાં મને વચન આપ્યાં છે ? પણ ત સઘળાં જુઠાં, ‘ગરજ સરી એટલે વૈદ્ય વેરી’ એ કહેવત પ્રમાણે થોડા વખતમાં મેં કીધેલો ઉપકાર તે ભુલી ગયો. હું જ મૂર્ખ કે એવા સાપના બચ્ચાને મેં દુધ પાઈને ઉછેર્યું કે તે મોટું થયા પછી પહેલાં તેણે મને જ ડંખ માર્યો. પણ એવી કૃતઘ્નતા પરમેશ્વર સાંખવાનો નથી, પણ ભવિષ્યની વાત શી કરવી ? હમણાં તો તેનાં દુષ્ટ કામનાં સારાં ફળ તે ભોગવે છે, જો તે દહાડે મેં મારી વહુની વાત સાંભળી હોત તો હું ગામ જાત નહીં, અને આ આફત કદાચ આવી પડત નહીં. પણ દૈવની સામે કોણ ડાહ્યા છે? લખીત વાત સો ભવે પણ મટતી નથી. વિધાતાના જે લેખ છે તે પ્રમાણે થયા વિના રહેતું જ નથી. પણ આવું દુઃખ સામટું કોઈને પડ્યું જ નહી હશે. સ્ત્રીને રાજા લઈ ગયો એટલું જ દુઃખ માણસનું અંતઃકરણ કોતરવાને બસ છે; પણ તેની સાથે આ તો મારો નાનો ભાઈ જેને મેં લાડથી ઉછેરેલો, જેને મેં મારા છોકરા જેવો જાણેલો, તે આવે અકાળ મોતે મુએ એથી તો સીમા વળી. અરે કેશવા, તને ધન્ય છે! તેં તારો જીવ આપ્યો, પણ જીવતો રહી આપણા ઘરની સ્ત્રીને પારકાના હાથમાં જવા ન દીધી. તેં તારા જોરનું સાર્થક કીધું. સબળે અબળનું રક્ષણ કરવું જોઈએ તેમ કરવામાં તેં તારો દેહ પાડ્યો તેથી તું હમણાં કૈલાસ લોકમાં બિરાજતો હોઈશ અને તે વિચારથી મારૂં દુઃખ અર્ધું ઓછું થાય છે. પણ એટલું પણ દૈવને બસ ન લાગ્યું. હમણાં જેઠાશાને મોતીશા આવ્યો, તેના કહેવાથી જણાયું કે ગુણસુંદરી સતી થઈ. ને તેના સ્વામીની સાથે બળી મોઈ. એથી હરખાવું કે શોક કરવો તે સમજાતું નથી. ઘર તો જડમૂળથી ઉખડી ગયું. વંશવૃદ્ધિની તો હવે આશા રાખવી ફોકટ. પણ નામ તો અમર રહેવાનું. ગુણસુંદરીના સ્વાત્માર્પણથી આખા કુળની, આખી ન્યાતની પ્રતિષ્ઠા વધી, અને મારી સાત પહેડી તરી. શી માણસની અવસ્થા છે ! મોટાઈ કેવી અનિશ્ચિત છે ! આજ છે અને કાલે નથી. જેવું બીડમાંનું સુકું ઘાસ, જેને બળતાં જરા પણ વાર લાગતી નથી; સૂર્યાસ્ત થતી વખતની જેવી છાયા, તે વખતે તો તે ઘણી મોટી દેખાય છે, પણ થોડી વાર પછી નહીં સરખી થઈ જાય છે; તે તો એક નિદ્રાનું સ્વપ્નું, જાગ્યા એટલે કાંઈ મળે નહી. દસેરાને દહાડે કેવી સ્થિતિ હતી, અને આજ કેવી? આશરે દશ કોશ સુધી દમ ખાધા વિના પગે ચાલીને હું ઈહાં આવી પહોંચ્યો. મારા બધા ચાકર, સિપાઈ આજ કયાં ગયા? હું તો એકલો ફરૂં છું, તો પણ હું જીવું છું એટલી મહાદેવજીની કૃપા છે. જો હું પણ મરી ગયો હોત તો એ દુષ્ટ રાજા સુખેથી બેસત. પણ હું હવે તેનો કાળ થઈ ભટક્યાં કરીશ. અને તેને એક દહાડો પણ ચેન પડવા દઈશ નહીં, એનું વેર લીધા વિના રહેવાનો નથી. અરે! ક્રોધપુત્ર વેર, તું મારી છાતીમાં જાગૃત થા. હવે તારૂં કામ છે. જ્યાં લગી આ દેહમાં આત્મા છે, ત્યાં સુધી તું છાતીમાં જ વાસ કરજે. વેર તો આખા જગતમાં પથરાયલું છે. કદાપિ કેટલાંક પુસ્તકોમાં તેની નિંદા કીધેલી હશે પણ તેથી કાંઈ તેની શક્તિ જરા પણ ઘટી નથી, નિર્જીવ પદાર્થો પણ વેર લે છે. જો હું આ ભીંત ઉપર મારો હાથ ઠોકું તો તે ભીંત મને સામું તેટલું જ મારે છે. તે શું વેર નથી લેતી ? કુતરાને પથ્થર મારીએ તો તે સામે ભસીને કરડવા નથી આવતો ? સાપને પગ તળે છુંદીએ તો તે આપણને કરડીને આપણો પ્રાણ નથી લેતો ? એ પ્રમાણે કયું અવાચક પ્રાણી જેનામાં વેર લેવાની શક્તિ છે તે તેને ઉપદ્રવ કીધા છતાં સામું વેર નથી લેતું ? વળી માણસને ધર્મશાસ્ત્રમાં ક્ષમા કરવી, દયા લાવવી, એ વગેરે બોધ થયા જ કરે છે, તો પણ તેઓ વેર લીધા વિના ચુકતા નથી. દેવતાઓ પણ વેર લે છે એવી વાર્તા આપણે પુરાણમાં કયાં નથી વાંચી ? વેર તો જગતનું રક્ષણ છે જો કોઈ વેર લે નહી તો દુનિયા ચાલે પણ નહી. જો કોઈ માણસને કોઈ ટપલો મારે તો તે સામા બે મારે છે; જો તેનામાં તેમ કરવાનું જોર નહી હોય તો જ ક્ષમા કરે છે, અથવા રાજા આગળ ફરિયાદ કરી તેને શિક્ષા કરાવે છે. એ તો अशक्तिमान भवेत साधु. જો એક માણસ બીજા કોઇનો કાંઇ માલ ચોરી જાય, અથવા તેને બીજી કોઈ પણ રીતે કાંઇ નુકસાન પહોંચાડે તો તેનું તે વેર લે છે. અથવા લેવડાવે છે. ડાહ્યા પુરૂષો કહે છે કે જો સઘળા લોકો પોતાના ઉપર ગુજરેલા અન્યાયને માટે પોતાની મરજી પ્રમાણે વેર લે તો દુનિયાની અવ્યવસ્થા થઇ જાય, અને જલદી તે લય પામે; માટે હરેક ગુન્હાને વાસ્તે રાજાને ફરીયાદ કરવી. અને જો તેનાથી દાદ ન મળે, તો પરમેશ્વર તરફથી ઈનસાફ મળશે જ એવો દૃઢ વિશ્વાસ રાખી બેસવું. પણ રાજા કાંઈ હમેશાં નિષ્પક્ષપતા હોતો નથી, અથવા ખરેખરો ન્યાય કરતો નથી, અને ઘણીએક વખતે તેમ થઈ શકતું પણ નથી. રાજા પોતે જ જ્યારે અપરાધી હોય, ત્યારે તેનો ઇનસાફ કોણ કરે ? કોઈ લાચાર થયા વિના પરમેશ્વરના ઇનસાફ ઉપર રહેવા દેતું નથી. એ તો મન વાળવાની વાત છે. જો મન મોટું રાખી આપણે હરેક ગુન્હેગારને ક્ષમા કરી જવા દઈએ તો દુનિયામાં ગુન્હેગારની સંખ્યા વધી જાય, અને જેટલા ગુન્હા થાય તે સઘળાનું પાપ આપણે માથે પડે. પરમેશ્વરની શિક્ષાથી થોડા જ બીહે છે. કોણ તે જોઈ આવ્યું છે ? જે સરકાર ઈનસાફ મુકી દઈને લોકોને કહે કે જે ગુન્હો કરશે તેનો બદલો તેને પરમેશ્વર તરફથી મળશે તો પછી ગુન્હો કરવાથી કેટલા અટકે છે તે જણાય. માટે વેર તો લેવું જ જોઈએ, અને જ્યારે આપણી બાબતમાં ગુન્હેગાર રાજા છે ત્યારે સ્વહસ્તે વેર લેવું, અને જો તેમ ન લેવાય તો જ તેને પરમેશ્વરને સોંપવો.
એવા વેરના તરંગ સિદ્ધપુરમાં રૂદ્રમાળાના દેવસ્થાનના સરસ્વતી નદી ઉપર જવાનાં પગથીયાંની પગથાળ ઉપર એક જુવાન માણસ રાતને વખતે ફરતો હતો તેના મનમાં ઉઠતા હતા. તેની છાતી ક્રોધથી ઉભરાઈ જતી હતી, અને તેનો ક્રોધ વ્યાજબી છે એમ જાણી સૃષ્ટિ પણ તેવી જ રીતે ક્રોધાયમાન દીસતી હતી. સરસ્વતી નદીમાં એટલું તો જોરથી પૂર વહેતું હતું કે તેમાં ઝાડનાં ઝાડ તથા મુએલ જાનવર ઘસડાઈ જતાં હતાં. આકાશ વાદળાંથી એવું તો ઘેરાઇ ગયલું હતું કે સામો માણસ અથડાય ત્યાં સુધી તેનું મ્હોં દેખાતું નહીં, વરસાદ પણ ઝરમર ઝરમર આવતો હતો, પવન એટલા જોરથી વાતો હતો, કે તેના ઘુઘવાટથી છાતી ધબકયા વિના રહે નહીં. તેની સાથે વાયુબળથી પાણી ગજગજ ઉંચાં ઉછળતાં હતાં. ઝાડો ભોંયની સાથે અફળાતાં, અને કેટલાંએક તો જડમૂળથી ઉખડી જશે એમ લાગતું હતું. આકાશમાં વિજળીના ઝળકાટ થઈ રહ્યા હતા, અને તેથી જ વખતે વખતે અજવાળું પડતું તે વડે રૂદ્રમાળાના કીર્તિસ્તંભ, તેનું નકશીદાર તોરણ, નાનાં નાનાં દહેરાંનાં શિખરો, વગેરે જણાતાં હતાં. વિજળી થઈ રહ્યા પછી ગર્જનાના કડાકા એવા તો જોરથી થતા કે તેના જોરથી તથા પવનથી બધું દેવસ્થાન તુટી પડશે એવી દહેશત લાગતી હતી. એવી વખતે, એટલે જ્યારે ઈશ્વર કોપાયમાન થયો હોય એવો દેખાવ ચોમેર થઈ રહ્યો હતો ત્યારે માણસ ક્રોધને વશ થાય એમાં શું આશ્ચર્ય ? એવે વખતે મનને શાંતિ થવાને બદલે તે વધારે જોશ ઉપર ચઢે. અને જેવો સઘળો દેખાવ કાળો તેવાં કાળાં કામ કરવાને મન પ્રવૃત્ત થાય એમાં શું નવાઈ ? એવી સ્થિતિ તે વખતે માધવના મનની હતી. તેનું શરીર ધ્રુજતું હતું, અને તેના મનની અવસ્થા તેના શરીરની અવસ્થા ઉપરથી જણાઈ આવતી હતી. તેણે મોતીશાના મ્હોંથી ફરી સઘળી વાત સાંભળી લીધી, અને તેથી ઉલટું અગ્નિમાં તેલ હોમાયું. આવી વખતે તેણે મોતીશાનો ઉપકાર પણ માન્યો નહી. જે વખતે માધવના તમામ મિત્રો તેને છોડી ગયા, તે વખતે એ શાહ પોતાનું ઘર, ધણીઆણી, છોકરાં, દોલત તથા બીજું સુખ તજીને પોતાના અસલ મિત્રને સહાય કરવા આવ્યો. જેના ઉપર રાજાની ઈતરાજી થઈ તેની પાસે ઉભા પણ રહેવું નહીં એવો જેઠાશાનો મત હતો, પણ તે ન જાણે તેમ શહેરમાંથી તે નીકળી આવ્યો, મિત્રાચારી તો એવી જ જોઈએ; અને એવી પ્રીતિ જુવાનીમાં જ્યારે અંતઃકરણ ગરમ હોય છે ત્યારે જ થાય છે. ઘડપણમાં જ્યારે સ્વાર્થનું જોર વધે છે ત્યારે પ્રીતિ ઓછી થાય છે, માટે ઘરડા માણસોમાં એવી મિત્રાચારી ક્વચિત જ હોય છે.
રાત ઘણી ગયા પછી મોતીશા તથા માધવ દહેરાંની એક ધર્મશાળામાં સુતા. પણ માધવને ઉંઘ આવે નહીં; વેર વેર તેના આખા શરીરમાં વ્યાપી ગયું હતું અને તે શી રીતે લેવું તેના વિચારમાં ને વિચારમાં તેણે પછાડા માર્યા કીધા. કેટલીએક વારે તે અર્ધ ઉંઘમાં પડ્યો, એટલે તેના સામી એક ઘણી રૂપાળી સ્ત્રી આવીને ઉભી રહી. તેનું તેજ એટલું હતું કે માધવની આંખ ઉઘડી ગઈ અને તે બોલ્યો: “વેરદેવી, તું માનવ હોય કે દાનવ, મૃત્યુલોકમાંની કે સ્વર્ગલોકમાંની ગમે તે હોય, પણ દુષ્ટ કરણ રાજાનું વેર શી રીતે લેવું તે બતાવ.” સ્ત્રી બોલી “અલ્યા માધવ ! તું નાગર છે તેથી તું મારો આશ્રિત છે. હું જગતની માતા, અંબા ભવાની છું, અને મારો વાસ આરાસુર પર્વતની ઉપર છે, માટે તું મારૂં દર્શન કરવાને ત્યાં આવજે એટલે હું તને શું કરવું તે બતાવીશ.” એવું કહી માતાજી અદૃશ્ય થઈ ગયાં, અને માધવ આસપાસ જોવા જાય છે તો ત્યાં કાંઈ જ દીઠું નહી. માધવને હવે નક્કી થયું કે માતાજી મને સહાય થશે, માટે કાલ સવારે ઉઠીને તેનાં દર્શન કરવા જવું, પછી ત્યાંથી જે ઉપદેશ મળશે તે પ્રમાણે ચાલીશ.
એટલો નિશ્ચય કીધાથી તેને જરા શાંતિ થઈ. આખા દહાડાનો થાક લાગ્યો હતો, તથા તેના મનમાં જે ઉથલપાથલ થઇ રહી હતી, એ સઘળાંથી તેના મગજ ઉપર અસર થઇ, તેથી તે નિદ્રાને વશ થયો, અને જ્યારે સૂર્યોદય થયો, અને તડકો તેની આંખ ઉપર આવવા લાગ્યો, ચ૯લીઓ તથા બીજાં પક્ષીઓ શોરબકોર કરવા લાગ્યાં, અને દહેરામાંના સાધુ વેરાગી મોટા અવાજથી રાગ ગાઇ આણીગમ તેણીગમ ફરવા લાગ્યા, ત્યારે જ તે ઉઠ્યો. ઉઠતાં જ વાર ગામમાં જઈ તેણે બે ઘોડા વેચાતા લીધા અને સવારના કામથી પરવારી તે તથા મોતીશા ઘોડાઉપર સવાર થઈ માતાજીના સ્થાનક તરફ જવા નીકળ્યા. મોટે રસ્તે જાય તો રાજાના માણસોના જોવામાં આવે, માટે તેઓ સરસ્વતીને કિનારે કિનારે ચાલ્યા. થોડા દહાડા તો વસ્તીવાળો મુલક આવ્યો, પણ જેમ જેમ તેઓ સરસ્વતીના મુખ આગળ આવતા ગયા તેમ તેમ જમીન વધારે પહાડી તથા જંગલી થતી ગઇ. થોડીએક વાર તેઓનો રસ્તો એક જંગલી પણ રમણીક તથા ફળવાન ખીણમાં થઈને હતો. તે ખીણની આસપાસ ઝાડોથી ઢંકાયલા પહાડો ચોતરફ હતા. આ ઠેકાણે આ એકાંત નદીને કિનારે કિનારે તેઓ ચાલતા હતા તે વખતે સાંજ પડી ત્યારે અઘોર રાન વધારે ભયાનક દીસવા લાગ્યું. વાઘ, વરૂ, શિયાળ ઈત્યાદિ જંગલી જાનવરોનો અવાજ થવા માંડ્યો. અને તેઓની આસપાસ કાળા અને નાગા વનના માણસો કોઈ આઘા ગામોમાં નોબત વગાડતા તેનો કઠોર અવાજ તેઓને કાને પડ્યો. એટલામાં આઘે એક બળતું થયલું નજરે પડયું. ભીલ લોકો તેઓની દેવીને બળીદાન આપતા હતા, અને ભડકું સુકાં લાકડાંમાંથી નીકળીને એક પહાડથી બીજા પહાડ ઉપર મોટા સર્પની પેઠે વિંટળાતું દેખાતું હતું. એવે રસ્તે થઈને તેઓ અંબા ભવાનીના દેવસ્થાન આગળ સરસ્વતી નદીના મુખની પાસે કોટેશ્વર મહાદેવનું દેવાલય છે ત્યાં પહોંચ્યા. અને મહાદેવનાં દર્શન કરી ત્યાં રાત રહ્યા.
બીજે દહાડે, અંબા માતાના દહેરાં તરફ જવાનો રસ્તો ઘણો વિકટ, તથા ત્યાં ચોર અને વાઘનો ભય ઘણો હોવાથી, ચક્રાવો ફરી પહાડની તળેટી ઉપર દાંતા ગામ અંબા માતાના ઘણા માનીતા પરમાર રાજાઓનું હતું ત્યાં તેઓ પહોંચ્યા. તે વખતે માતાજીનો જાત્રાનો વખત ન હતો તોપણ કેટલાંએક માણસો માનતા ચઢાવવાને જતાં હતાં તેઓ તે બંનેને મળ્યાં. તેમની સાથે બીજે દહાડે સવારે પહાડ ઉપર ચઢવા માંડ્યું. ચઢાવ ઘણો લાંબો પણ સરળ હતો, તોપણ ઠેકાણે ઠેકાણે ખડબચડો તથા વાંકો ચુંકો હતો. જાત્રાળુ લોકોએ રાતા, પીળા, ધોળા, ઈત્યાદિ નાના પ્રકારના રંગનાં વસ્ત્ર પહેરેલાં હતાં. કેટલાએક પાસે ચળકતી તરવારો હતી, કેટલાએકનાં અંગ ઉપર ઝળકતાં સોનાનાં ઘરેણાં ઘાલેલાં હતાં, તે સઘળાં તડકામાં ચળકતાં હતાં. તેઓ રસ્તે ચાલતા ત્યારે મેદાન આવતું તેમાં લાંબી હાર દેખાતી, કેટલીએક વાર તો રંગબેરંગી પહાડોથી થોડા ઢંકાઈ જતા. અને કોઈ કોઈ વાર તો ઝાડાના ઓથામાં આવ્યાથી બિલકુલ નજરે પડતા ન હતા. ચઢાવના ઘણા સીધા ભાગની વચ્ચોવચ એક જુની વાવ હતી, ત્યાં સંઘે થોડીવાર મુકામ કીધો. પછી પાણી પી તાજા થઈને આગળ ચાલ્યા, અને ઉદાસ તથા ઉજજડ ટેકરામાંથી નીકળી રમણીય મેદાન ઉપર આવ્યા. તે વખતે આરાસુરના સુગંધીદાર પવનની લહેરોથી તેઓને આનંદ થયો. તે વખતે સંઘમાંના આગળ ચાલનાર લોકોએ બુમ પાડી કે દહેરૂં પાસે આવ્યું. એ બુમ સાંભળતાં જ સઘળા પોતપોતાના ઘોડા ઉપરથી ઉતરી પડ્યા. અને જમીન ઉપર લાંબા થઈ પગે લાગીને “જય અંબે, ” “જય અંબે,” “ અંબે માતકી જય.” એવી બુમ પાડી ઉઠયા. દહેરૂં આરાસુરના પહાડમાં આરાવલી પર્વતની શાખા જ્યાં નૈઋત્ય કોણમાં પુરી થાય છે ત્યાં હતું. તે દહેરું નાનું હતું, અને બીજાં કેટલાંક નામાંકિત દહેરાં કરતાં ઓછું શોભાયમાન હતું. તેની આસપાસ મજબુત કોટ હતો, તેમાં દેવીના પૂજારા, નોકર ચાકરો તથા જાત્રાળુ લોકોને રહેવાને માટે ધર્મશાળાઓ હતી. તેમાં એક નાનું લશ્કર પણ રહેતું હતું, પણ માણસના બળ તથા શસ્ત્રવડે અંબા માતાનું રક્ષણ થાય છે એમ ના કહેવાય માટે બહાર દરવાજો રાખવાને અંબા માતાએ ના કહી હતી. આ દહેરામાં જેનું પૂજન થતું હતું તે મહાદેવની પત્ની, હિમાચળ તથા મેનાની પુત્રી દુર્ગા હતી, ચાંપાનેર આગળ પાવાગઢ ઉપર તેનું ઉગ્ર તથા સર્વ ભક્ષક કાળકાનું રૂપ છે તેવું ત્યાં નહતું પણ ભવાની એટલે સ્વયંભૂની કામ કરવાની શક્તિનું તથા અંબાજી એટલે સૃષ્ટિની માનું રૂપ હતું. આરાસુરનું દહેરું ઘણું પ્રાચીન કાળથી ત્યાં હતું. એવું કહેવામાં આવે છે કે એ ઠેકાણે જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન બાળક હતા ત્યારે તેના વાળ લેવડાવ્યા હતા, અને ત્યાર પછી જ્યારે રૂક્ષમણીને શિશુપાળની સાથે પરણવા ન દેતાં તેને ભગવાન લઈ ગયા, ત્યારે તે દેવીનું પૂજન કરવા આવી હતી તે આ ઠેકાણે જ આવી હતી. હજારો વર્ષ થયાં જાત્રાળુ લોકો ત્યાં આવતા તેથી સઘળું આંગણું ઘસાઈ ગયું હતું.
એ દહેરામાં માધવ અને મોતીશા આવ્યા, એક ધર્મશાળામાં ઉતર્યા, અને રસોઈપાણી કરી થાક ખાઈ સાંજની વખતે માતાજીનાં દર્શન કરવા ગયા. માતાજીનું સ્વરૂપ જુદા જુદા લોકોને જુદું જુદું દેખાય છે ખરૂં, પણ માધવને તો જુદાં જ દર્શન થયાં. માતાનો વેશ મ્લેચ્છનો હતો, તેના એક હાથમાં ખડગ હતું, અને બીજા હાથમાં એક માણસની ચોટલી હતી, માતાનું આવું રૂપ જોઈને તે આશ્ચર્ય પામી ઉભો રહ્યો, અને વધારે જોય છે એટલામાં તો માણસ જોર કરી માતાજીના હાથમાંથી નીકળી ગયો, અને તેના હાથમાં તેની ચોટલી રહી ગઈ એવું દીઠું, તેનો અર્થ શું હશે એ વિષે તે ઉંડા વિચારમાં પડ્યો, એટલામાં સિદ્ધપુરનો રૂદ્રમાળાની ધર્મશાળામાં આવેલું સ્વપનું તેને યાદ આવ્યું, તે ઉપરથી તેણે અટકળ કીધી કે મ્લેચ્છનો અર્થ મ્લેચ્છ અથવા તર્ક લોકોને દિલ્હીનો રાજા, અને પેલો માણસ એટલે ગુજરાતનો કરણ રાજા, એ ઉપરથી દિલ્હીનો તુર્ક રાજા કરણને સપડાવશે, પણ તે તેનું રાજ મુકીને નાસી જશે – એ શિવાય બીજો કાંઈ અર્થ દેખાતો નથી, માતાજીએ વેર લેવાનો રસ્તો બતાવ્યો તો ખરો, માટે હવે દિલ્હી જવું અને ગુજરાત ઉપર ચઢાઈ કરવાને ત્યાંના સુલતાનને વિનંતિ કરવી, એવી રીતે તેનો ખુલાસો થયો, તેથી તે ઘણો આનંદ પામીને માતાજીને પગે પડ્યો. પછી ફુલના હાર, નાળીએર, પૈસા, તથા ઘરેણાં માતાજીને ચઢાવ્યાં. વળી તેણે વસ્ત્ર નિશાન, સોના રૂપાનાં વાસણ, ઘંટ, અને માતાની પૂજાનો બીજો કેટલોએક જરૂરી સામાન અર્પણ કીધો. રાત્રે માતાને થાળ મોકલી તેમાં બકરાં, મુરઘાં, ઈત્યાદિ માતાને બળીદાન આપી શકાય એવાં પ્રાણીઓનું માંસ તથા મદિરા મુકેલાં હતાં, માધવ જ્યાં સુધી ત્યાં રહ્યો ત્યાં સુધી ખાવામાં અથવા બીજા કોઈ પણ કામમાં તેણે તેલ વાપર્યું નહી. સઘળે ઠેકાણે તેણે ઘીનો જ ઉપયોગ કર્યા કીધો. માતાજીને માધવે ઘણી કિમતી બાધા ચઢાવી તેથી રાત્રે તેને ચમર કરવા દીધી, તેના બદલામાં વળી તેણે સિદ્ધપુરના ત્રણ ઔદિચ બ્રાહ્મણો ત્યાંના પૂજારી હતા, અને જેઓએ તે કામ દાંતાના રાણાને કેટલાએક પૈસા આપવા કબુલ કરી ઈજારે રાખ્યું હતું, તેઓને કાંઈ આપ્યું. તેઓએ તેને પહેલાં દર્શન કરતી વખતે ચાંલ્લો કીધો હતો.
બીજે દહાડે તેણે તેઓને તથા બીજા બ્રાહ્મણોને સારી પેઠે મિષ્ટાન્ન લેવડાવી તૃપ્ત કીધા, અને યથાયોગ્ય દક્ષિણા આપી જાત્રા પુરી થઈ તેની નિશાનીને કંકુને હાથો તેના ખભા ઉપર દેવડાવ્યો. હવે બીજું કાંઈ કામ રહ્યું નહી, તેથી પાસે માનસરોવરના કાંઠા ઉપર અપરાજીત માતાનું દહેરૂં છે ત્યાં તે દર્શન કરવા ગયા. ત્યાંથી આવ્યા પછી અંબા ભવાનીના દેવસ્થાનની પશ્ચિમે આશરે એક કોશ ઉપર એક પહાડ હતો તે ઉપર ગબરગઢ નામનો કિલ્લો તે વખતે હતો તે જોવાને તેઓને વિચાર થયો. તે પહાડ આગળ નાના નાના ટેકરા એવી રીતે આવી રહેલા હતા કે જે કોઈ તેને આઘેથી જોય તો ત્યાં એક મોટો કમાનદાર દરવાજો હોય એમ લાગે. તે ઉપરથી એવી કથા ચાલે છે કે અંબામાતા તે પહાડના પોલાણમાં રહે છે. જ્યારે માધવે ત્યાં પૂજારીને તે જગાનો મહિમા પુછ્યો, ત્યારે તેણે નીચે પ્રમાણે એક વાત કહી, “કોઈ વખત ઉપર માતાજીની ગાયો ગોવાળીયાની બીજી ગાયોની સાથે આખો દહાડો ચરતી, અને રાતની વખતે આ પહાડમાં પાછી આવતી, એ ગાયો કોની છે તે જાણવાનું પેલા ગોવાળીયાને ઘણું મન થયું, અને ગમે તે થાય તો પણ એ ગાયનો ધણી શોધી કાઢી તેની પાસેથી ચરામણી માગવાનો તેણે નિશ્ચય કીધો. એક સાંજરે જ્યારે ગાય ધારા પ્રમાણે પોતાના ઘેર તરફ વળી, ત્યારે ગોવાળીયો તેની પાછળ ગયો, અને તેની સાથે પહાડમાં પેંઠો. પહાડમાં પેંઠા પછી એક અતિ શોભાયમાન મહેલ આવ્યો, અને તેમાં ઘણા વિશાળ ઓરડાઓ દીઠા, મુખ્ય ઓરડામાં એક હિંડોળા ઉપર માતાજીને બેઠેલાં જોયાં, તેની આસપાસ તેની ઘણીએક સખીઓ હતી. ગોવાળીયો હિંમત પકડીને માતાજી આગળ ગયો, અને પુછ્યું કે આ ગાય તમારી છે? તેણે હા કહી. તે ઉપરથી ગોવાળીયાને વધારે બોલવાની હિંમત આવી. તે બોલ્યો:– “મેં આ ગાયને બાર વર્ષ થયાં ચરાવી છે, માટે હવે મને તેની ચરાઈ આપવી જોઈએ.” માતાજીએ તેની પાસે એક બઈરી ઉભી હતી તેને આજ્ઞા કીધી કે ભોંય ઉપર જવનો ઢગલો પડેલો છે તેમાંથી થોડાએક તેને આપો, તેણે એક સુપડું જવે ભર્યું, અને ગોવાળીયાને આપ્યું. તેણે તે લીધું, અને નાઉમેદ થઈને તથા ખીજવાઈને ઘરની બહાર નીકળ્યો, અને આંગણું આગળ જવ ભોંય ઉપર નાંખી દીધા. પોતાને ઘેર જઈ જોયું તો તેના લુગડાં ઉપર ઘણી ઉંચી જાતના સોનાના કેટલાએક રવા વળગેલા જોયા. ગોવાળીયાએ બીજે દહાડે ફરીથી પહાડમાં પેસવા માંડયું, પણ તેને રસ્તો જડ્યો નહી, અને માતાજીની ગાય પણ ફરીથી ચરવા આવી નહી.”
અંબાજીની પાસે એક નાની નદી ઉપર જંગલી ચંપેલી તથા બીજાં સુગંધીદાર કુલોની એક વાડી જેવું હતું ત્યાં કેટલાંએક સુંદર સફેદ આરસ પહાણનાં બાંધેલાં જૈનધર્મનાં દહેરાં હતાં, ત્યાં જવાનો મોતીશાએ આગ્રહ કીધો, અને તે જૈન થઈને તેની સાથે અંબાજી આવ્યા માટે તેના દહેરાં આગળ ગયા વિના માધવને ચાલે નહી, તેથી તેઓ બંને ત્યાં ગયા. એ દહેરાં વિષે જે દંતકથા તેઓએ સાંભળી તે નીચે પ્રમાણે હતી:– “વિમળશાને માતાએ ઘણું દ્રવ્ય આપ્યું તેથી તેણે ત્યાં પારસનાથનાં ત્રણસેં ને સાઠ દહેરાં બાંધ્યાં; પછી માતાજીએ તેને પૂછ્યું કે એ દહેરાં તેં કોની સહાયતાથી બાંધ્યાં ? ત્યારે તેણે જવાબ દીધો કે ગુરૂની સહાયતાથી. માતાજીએ એને એ પ્રશ્ન ત્રણ વાર પૂછ્યો, પણ ત્રણે વાર તેણે એને એ જ જવાબ દીધો. ત્યારે તેણે તેને કહ્યું કે, “અલ્યા, જેમ નસાય તેમ નાસ.” એક દહેરાંનું ભોયરું જેમાં થઈને દેવલવાડાનાં દહેરાંનાં ભોંયરામાં જવાતું હતું તેમાં તે ઉતર્યો, અને નીચેની સણગમાં થઈને આબુ પહાડ ઉપર નીકળ્યો, પછી માતાજીએ પાંચ સિવાય બધાં દહેરાં બાળી મુકયાં, અને એ વાત સૌ કોઈના જાણ્યામાં આવે માટે તે પાંચ જ રહેવા દીધાં, જે ત્રણસેં ને પંચાવન દહેરાં બાળી મુકયાં તેના બળેલા પથ્થર ભોંય ઉપર પડેલા હતા, તે જોઈ શાહને પક્કી ખાતરી થઈ કે શ્રી અંબાજી કોપાયમાન થઈને તેણે એ દહેરાં બાળી મુકયાં, તેથી તેણે આબુના દેવલવાડામાં એક દેવસ્થાન બાંધ્યું તે ઉપર માતાજીને શાંત કરવાને નીચે પ્રમાણે કેતરાવ્યું.
“તારા પાતરાં જેવા હાથ અશોકનાં ઝાડનાં પાતરાં જેવા રાતા છે. તું અતિ ઘણું સુંદર દીસે છે. તારો રથ કેસરી સિંહ ચલાવે છે. તારા ખોળામાં બે છોકરા છે, એવી તું સતી અંબિકા સદ્દગુણી પુરૂષોના પાપનો નાશ કર.”
“એક વાર રાત્રે વિમળશાને શાણી અંબિકાએ આજ્ઞા કીધી કે આ પહાડ પા૫રહિત જગા છે તે ઉપર યોગનાથનું એક સારૂં દહેરૂં બાંધ.”
“શ્રી વિક્રમાદિત્ય પછી એક હજાર અઠ્યાસી ચોમાસાં ગયાં એટલે ઈ. સ. ૧૦૩૨ માં અર્બુદાના શિખર ઉપર શ્રી આદિદેવનું વિમળે સ્થાપન કીધું તેને હું પૂજું છું.”
એ દહેરાંમાં મોતીશા તથા માધવે દર્શન કીધા પછી ત્યાંથી આબુના પહાડ ઉપર જવાનો તેમણે ઠરાવ કીધો. રસ્તો ઘણો જ રમણિક હતો. એક નાના નાળાની કોરે કોરે તેઓ ચાલ્યા. આકાશમાં એક પણ વાદળું નહતું. અમરાઈમાંથી કોયલો ટઉકો કરતી હતી. જગલનાં બીજાં પક્ષી વાંસની ઝાડીમાંથી સાદ કરતાં હતાં; અને તિતરનાં ટોળેટોળાં ઝાડ ઉપર બેસીને હોલાઓની સાથે આનંદથી સંવાદ ચલાવતાં હતાં. લક્કડખોદ ઝાડનાં થડ ઉપર તેઓની કઠણ ચાંચ ઠોકતી હતી તેના અવાજથી આખું વન ગાજી રહ્યું હતું. ત્યાં નાના પ્રકારનાં સુંદર ફુલ તથા સ્વાદિષ્ટ મેવા નજરે પડતાં હતાં. ઝાડ ઉપર ચઢતી વેલનાં ધોળાં તથા પીળાં ફુલોમાંથી મધમાખીઓ મધ કાઢતી હતી. ત્યાં કોઈ માણસની વસ્તી નહતી. કોઈ કોઈ વાર કોઈ રજપૂત સવાર ઢાલ બાંધીને તથા ભાલો હાથમાં રાખીને અંબાજીનાં દર્શન કરવા જતો હોય તે જોવામાં આવતો; અથવા કોઈ તળાવની પાસે વણજારાઓ ગુણ નાંખીને બળદ છુટા મુકીને પડેલા હતા તે નજરે આવતા હતા. આગળ ચાલતાં એક સપાટ ખીણ આવી તે રેતાળ હતી, પણ તેમાં ઠેકાણે ઠેકાણે ખેડાણ હતું. વળી રસ્તામાં અનાજનાં ખેતર આવતાં, અને વખતે વખતે નાનાં ગામો દેખાતાં, અને આઘેના પહાડમાંથી નીકળેલી નદીઓ વહેતી નજરે પડતી હતી. ત્યાંથી ધુમસે ઘેરાયલો આબુ પહાડ દેખાયો, તેની બાજુએ ઉપર ઝાડ તથા ઝાડી અને નાની નદીઓ દેખાવા માંડી. આગળ જતાં એક ટેકરી ઉપર દોરા જેવો રસ્તો દેખાયો, તે કોઇ ઠેકાણે ચઢતો અને કોઇ ઠેકાણે ઉતરતો હતો. એ રસ્તા ઉપર ઝાડીની ઘટા આવી રહી હતી. તેમાં ચઢતાં ચઢતાં એક કરાડાની નીચે એક મેદાન આવ્યું; ત્યાં ઘણાં શોભાયમાન ઝાડોની વચ્ચોવચ વશિષ્ઠ મુનિનું દહેરૂં હતું; તે દહેરાંની વાડીમાં માધવ તથા મોતીશા થાક ખાવાને ઉતર્યા. એ વાડીમાં ઘણાં સુગંધીદાર ફુલો ઉગેલાં હતાં, તેમાં કેવડાથી તમામ જગા બહેંક બહેંક થઇ રહી હતી. વળી ત્યાં એક પથ્થરના ખડકમાં ગાયનું મ્હોં કોતરેલું હતું, તેમાંથી પાણીને ધોધવો પડી નીચે એક મોટી ટાંકલીમાં પડતો. તેથી કર્ણેન્દ્રિયને પણ ઘણો આનંદ થતો હતો.
મુનિનું દહેરૂં નાનું હતું તેમાં વશિષ્ઠ જેણે અચલેશ્વરના અગ્નિકુંડમાંથી રજપૂતના મૂળ પુરૂષોને કાઢ્યા તે મુનિની કાળા પથ્થરની મૂર્તિ હતી. ત્યાં સવારે, બપોરે અને સાંજરે નોબત વાગતી હતી. તેના નાદથી તે જગ્યા ઘણી રણિયામણી લાગતી હતી. વશિષ્ટમુનિના દહેરા આગળ પથ્થરમાં લાંબાં પગથીયાં કાપી કાઢેલાં છે તે ઉપર થઈને ઉંચે ચઢવાનું હતું. તે ઉપર ચઢતાં ચઢતાં તેઓ આખરે આબુના સપાટ મેદાન ઉપર પહોંચ્યા. તે ઠેકાણે તેઓ ગયા ત્યારે જાણે એક નવા જગતમાં, વાયુમાં તરતા એક બેટમાં આવ્યા હોય એમ તેમને લાગ્યું. તેઓની આસપાસ ચોતરફ ઉંચીનીચી ટેકરીઓ હતી તે ઉપર નાનાં મોટાં ગામો હતાં. તેમાં એક સરોવર હતું, અને એક કરતાં વધારે નાળાં હતાં. તે સઘળી ટેકરીઓમાં સૌથી ઉંચી ટેકરી ઉપર એક મુનિનું નાનું દહેરૂં હતું તે ઉપરથી તેને મુનિનું શિખર કહેતા હતા; અને બીજી એક ટેકરી ઉપર અચળગઢનો પ્રસિદ્ધ કિલ્લો હતો.
આબુના સઘળા પહાડોમાં સૌથી ઉંચો મુનિ-શિખર હતો. તે ઉપર માધવ તથા મોતીશા ચઢ્યા. જ્યારે તેઓ ઉપર ગયા ત્યારે દક્ષિણ તરફથી ઠરી જવાય એવો ટાઢો પવન આવવા લાગ્યો તેથી તેએાએ કાળી કામળી શરીર ઉપર વિંટાળી અને એક ટેકરીની પાછળ ભરાઈને ભોંય ઉપર લાંબા થઈને સુતા. દેખાવ ઘણો ભભકાદાર તથા સુન્દર હતો. તેઓના પગ નીચે વાદળાં આવી રહ્યાં હતાં. અને તેમાંથી સૂર્યનાં કિરણ નીચે ઉતરતાં હતાં. એ ઉંચી, આંખે તમ્મર આવે એવી, ટોચની ઉપર એક નાનું ગોળ મેદાન હતું, તેની આસપાસ એક નીચો કોટ હતો. એક બાજુએ આશરે દશ ગજ ચોરસ ગુફા હતી તેમાં એક મોટો કાળો પથ્થર હતો તે ઉપર વિષ્ણુનો અવતાર જે દત્તભૃગુ તેનાં પગલાં હતાં, તે પાદુકા પૂજવાને માટે જ મોતીશા આટલું જોખમ ખમી ઉપર ચઢ્યો હતો, અને બીજા ખુણામાં સીતાભક્તોના મહાન્ ગુરૂ રામાનંદની પાદુકા હતી. આ ભયાનક સ્થલમાં તે પંથનો એક સાધુ હતો તેણે એક ઘંટ વગાડવા માંડ્યો, અને જ્યારે માધવે તેને દક્ષિણા આપી ત્યારે જ તે ઘંટ વગાડતો બંધ થયો. સાધુની પાદુકાની આસપાસ જાત્રાળુ લોકોની લાકડીઓનો ઢગલો પડ્યો હતો. તેઓ આટલી હિંમત ચલાવી ઉપર આવ્યા તેની યાદગિરીને વાસ્તે તે ઢગલો ત્યાં રાખવામાં આવ્યો હતો. પહાડના ઘણાએક ભાગમાં અગણિત કોતરો હતાં, તે ઉપરથી જણાતું હતું કે ત્યાં આગળના કાળમાં ગુફામાં રહેનાર માણસોની વસ્તી હશે; અને બીજાં ઘણાએક ગોળ બાકાં હતાં તે તોપના ગોળાને વાસ્તે કીધેલાં હોય એમ લાગતું હતું. તે વખતે ચોમાસું તરત જ ગયલું હતું, અને હવા ઘણી સ્વચ્છ હતી તેથી કોઈ કોઈવાર જોધપુરનો કિલ્લો, અને લુણી ઉપરના બાળોવા શહેર સુધીનું રેતીનું મેદાન દેખાતું હતું એટલે દૂર સુધી તો આખો દહાડો નજર પહોંચતી નહતી, તે પણ ભિત્રાલની ફળવાન ખીણ સિરોહી સુધી દેખાતી, તથા પૂર્વ તરફ આશરે પંદર કોશ ઉપર આરાવલીનાં વાદળાં સુધી પહોંચેલા પહાડોની વચ્ચોવચ અંબા ભવાનીનું પ્રખ્યાત દેવાલય નજરે પડતું હતું. નીચે નજર કરતાં એક મોટો કરાડો દેખાતો હતો, પણ ત્યાંથી આંખ ઉંચી કરી જમણી તરફ અર્ધું ચક્કર ફેરવીએ, તો પરમાર રજપૂતોનો કિલ્લો દેખાતો હતો. તેથી વધારે જમણી તરફ દેવલવાડાનાં શિખરો દેખાતાં હતાં, તે ઉપર નાની નાની નદીઓ વહેતી હતી. દેખાવ કેવો જુદો જુદો ? આકાશ આસમાની, મેદાન રેતાળ, દહેરાં સ્ફાટિકનાં, ઝુંપડાં નીચાં, જંગલ મોટાં અને પહાડો ઉંચા નીચા હતાં.
મુનિ-શિખર ઉપરથી ઉતરીને અચળેશ્વરના અગ્નિકુંડ તથા દેવસ્થાન આગળ તેઓ ગયા. અગ્નિકુંડ આશરે ૪પ૦ ગજ લાંબો તથા ૧૨૦ ગજ પહોળેા હતો. તે એક પહાડમાંથી કોતરી કાઢેલો હતો, અને તેની બાજુએ મોટી મોટી ઇંટ ચણી લીધેલી હતી. કુંડની મધ્યે એક પથ્થરનો ટેકરે રહેવા દીધેલો હતો તે ઉપર માતાનું એક દહેરૂં હતું. કુંડના ઉત્તર તરફના મથાળા ઉપર પાંચ પાંડવનાં પાંચ દહેરાં હતાં, પશ્ચિમ બાજુએ આબુનો ઇષ્ટ દેવ જે અચળેશ્વર તેનું દહેરૂં હતું. આ દહેરૂં કાંઈ મોટું અથવા નકશીદાર ન હતું, પણ ઘણું સાદું હતું. તે એક મોટા ચોગાનની વચ્ચોવચ હતું, અને તેની આસપાસ કાળી સ્લેટના પથ્થરનાં બાંધેલાં નાનાં નાનાં દહેરાં હતાં અગ્નિકુંડની પૂર્વ બાજુએ પરમારના મૂળ પુરૂષનું દહેરૂં હતું, આદિપાળની મૂર્તિ તેમાં બેસાડેલી હતી, તે સફેદ આરસની હતી. તેની ઉંચાઈ આશરે અઢી ગજની હતી. ભેંસાસુર એટલે ભેંસના માથાવાળો રાક્ષસ રાત્રે આવીને અગ્નિકુંડનું પવિત્ર પાણી પી જતો હતો, તેને ન આવવા દેવાને પરમેશ્વરે પરમારને સરજાવ્યા. તે ભેંસાસુરને બાણવતી મારી નાંખતો હોય એવી રીતની તે આદિપાળની મૂર્તિ હતી. એ અગ્નિકુંડ જોયા પછી અચળગઢનો કિલ્લો જોવાને તેઓ ગયા. કેટલેક સુધી ઉંચે ચઢ્યા પછી હનુમાન ભાગળમાંથી નીચલા કિલ્લામાં પેંઠા. પછી બીજી ભાગળમાં થઈને અંદરના કિલ્લામાં ગયા તેમાં જોવા લાયક કાંઈ નહતું. કિલ્લામાં એક મોટું તળાવ હતું. તેનું નામ શ્રાવણ ભાદરવો હતું. અને એ ચોમાસાના બે માસનું તેને નામ આપ્યું હતું. તે તેને યોગ્ય જ હતું, કેમકે તે ભર ઉનાળામાં પણ પાણીથી ભરેલું રહેતું હતું.
હવે દેવલવાડા જોવાનું રહ્યું, અને ત્યાં જવા સારૂ તેઓ વશિષ્ઠ મુનિના આશ્રમ આગળ પાછા ગયા. ત્યાંથી તે દેવલવાડા સુધીના રસ્તામાં ખેતીવાડી સારી હતી; લોકોની વસ્તી પણ વધારે હતી; નદીઓ તથા ઝાડો પણ ઘણા જ હતાં; વખતે વખતે જમીન ઉપર લીલો ફરશ બીછાવ્યો હોય એવી લીલી હરિયાળી જેવી જગ્યા આવતી હતી. કમેરે પક્ષી જે બીજે સ્થળે ક્વચિત જ માલમ પડે છે તેનો ત્યાં મધુર સાદ સંભળાતો હતો; અને એક ઝાડીમાં નિર્મળ નદી વહેતી હતી તેમાંથી કોયલનો તીણો તથા સ્પષ્ટ શબ્દ આવતો હતો. સઘળાં ખેતરોમાં અનાજ વાવેલું હતું. અને ઘણા થોડા વખતમાં આબુનાં બાર ગામોમાંથી ચાર તેઓએ વટાવ્યાં. તે ગામોમાં ઘર સુઘડ તથા સુખદાયક અને ગોળાકાર હતાં; તેની ભીંત મટોડીની હતી પણ તે ગેરૂથી રંગેલી હતી; હરેક વહેતા નાળાને કાંઠે ખેતરમાં પાણી સીંચવાનું ચક્કર હતું; ખેતરોની વાડ થોરની હતી તે ઉપર ધોળાં ફુલ હતાં, અને માંહેમાંહે શિવને વહાલાં સેવતીનાં ફુલ હતાં. એક કાળા પથ્થરની ટેકરી ઉપર પુષ્કળ દાઢેમડી હતી. અંજીરીએાની પણ કાંઈ ખોટ નહોતી; દરાખના વેલા કોઇ કોઇ ઠેકાણે દેખાતા હતા; અને એક ઉંડી ખીણમાં મીઠાં લીંબુનાં ઝાડ ઉગેલાં હતાં. આંબાનાં તો વનેવન હતાં; તેનાં લટકતાં આસમાની તથા સફેદ ફુલ ઘણાં જ શોભાયમાન દીસતાં હતાં. આંબાને વિંટળાએલા વેલાને પહાડમાં વસનારા લોકો અંબાત્રી કહેતા, તે તેઓને ઘણા જ ગમતા હોય એમ લાગતું હતું, કેમકે જ્યાં જ્યાં તેઓ પહોંચાય એટલા ઉંચા તે ઉગતા હતા ત્યાં ત્યાંથી તેઓને તોડી લઈ તેઓ ચોટલામાં ગુંથતા અથવા પાઘડીમાં ખોસતા હતા. ઝાડોમાં ઘણી ભીનાશ હતી તેથી તેઓ સેવાળ તથા વેલાથી તમામ ઢકાઈ ગયલાં હતાં. અને અચળગઢ આગળ ખજુરીનાં ઉંચાં ઝાડ પણ મૂળથી તે ટોચ સુધી એ જ પ્રમાણે ઢંકાયલાં હતાં, ફુલોનાં ઝાડ તો ત્યાં પુષ્કળ ઉગેલાં હતાં, તેઓમાં ઘણાં તો ચંપેલી તથા તેના જેવાં બીજા ફુલોનાં હતાં. સોનેરી ચંપાનાં ઝાડ જે ફુલનાં સઘળાં ઝાડોમાં ઉંચામાં ઉંચાં ગણાય છે, જે મેદાન ઉપર ક્વચિત જ જોવામાં આવે છે, અને જેને અગરના ઝાડની પેઠે સો વર્ષમાં એક જ વાર ફુલ આવે છે એવું લોકો કહે છે, તે ઝાડ થોડે થોડે છેટે મોરોથી ભરેલાં ઉગેલાં હતાં, અને તેથી તમામ હવામાં ખુશબો પથરાઇ રહી હતી. નદીઓ અને પહાડો, મેવાનાં ઝાડો, ટેકરીઓ, ઝાડી, અનાજનાં ખેતર, દરાખના વેલા, અને પહાડી કિલ્લા, એવી રીતની બધી શોભા ત્યાં એકઠી થયલી હતી.
ત્યાં એક નખી તળાવ ઘણું જ રમણિક હતું. તેમાંના બેટો ઝાડોથી ભરપૂર હતા અને તેની આસપાસના ટેકરાઓ, તાડ, ખજુર વગેરે ઝાડોથી ઢંકાયલા હતા. તેનાં પાણી ઉપર ઘણા આનંદથી જળકુકડીઓ તરતી હતી. એ તળાવની પાસે દેવલવાડા એટલે દેવલોનું ઠેકાણું હતું. તેઓમાં મુખ્ય દહેરાં તેજપાળ તથા વિમળશાનાં બાંધેલાં હતાં. ઉપર લખ્યા પ્રમાણે વિમળશાનું દહેરૂં ઈ૦ સ૦ ૧૦૩૧માં બંધાયું. તે અગાઉ એ પવિત્ર ડુંગર ઉપર કોઈપણ જૈન લોકોનું દેવસ્થાન નહતું. એ દહેરાં કાંઈ મોટાં અથવા બહારથી ઘણાં શોભાયમાન ન હતાં, પણ અંદરથી તેઓમાં નકશીનું કામ એટલું બધું હતું કે તેઓનું યથાસ્થિત વર્ણન આ ઠેકાણે કરી શકાતું નથી. આગલો ઘુમટ અષ્ટખુણ હતો, અને પાછળ અગણિત ઘુમટો હતા. સઘળાં દહેરા સફેદ સ્ફાટિકનાં હતાં અને તેના ઉપર જે નકશી હતી તે એવી તો બારીક કોતરેલી હતી કે એવી બારીકી મીણ સિવાય બીજી કોઈ પણ વસ્તુમાં થઈ શકે એમ વિચારમાં જ ઉતરી શકે નહી. તેમાં જે ચિત્ર કોતરેલાં હતાં તે નિર્જીવ વસ્તુઓનાં જ હતાં એમ નહી. સ્ત્રીપુરૂષ પોતપોતાનાં કામ કરતાં હોય તેનાં, વહાણનાં તથા વ્યાપારનો સંબંધ રાખતાં, અને રણસંગ્રામમાં યુદ્ધ થતું હોય તેનાં પણ ચિત્રો હતાં. હમણાં એ નકશીદાર દહેરાં જે જે અંગ્રેજ લોકો જોય છે તેઓ તેની ઘણી જ તારીફ કરે છે, અને આ દેશના લોકો ઈમારત બાંધવાના કામમાં તથા નકશી કોતરવામાં આવા પ્રવીણ હતા, એ વાતની તેઓની આ ઠેકાણેનાં દેવસ્થાને જોયાથી ખાતરી થઈ છે.
આવી આવી ઈશ્વરી તથા માણસની કળાથી ઉત્પન્ન થયલી શોભા જોવાથી, આવાં આવાં પવિત્ર સ્થળો તથા દેવભૂમિમાં પગ મુક્યાથી, આવી આવી ચમત્કારી વસ્તુઓ નજરે પડ્યાથી, આવા આવા મહિમાવાળા તથા જાગતાજોત કહેવાતા દેવો તથા દેવીઓનાં દર્શન કીધાથી, માધવનો જીવ એટલો તો પ્રસન્ન થઈ ગયો કે તેના અંતઃકરણમાં જે તોફાન થઈ રહ્યું હતું તે શાંત થયું; તેના હૈયામાં જે વેર દેવીએ વાસો કીધો હતો તે ત્યાંથી ઉઠી એક ખુણે દબાઈ બેઠી, અને તેના ઉપર પડેલું મહાભારત દુઃખ તે ઘણું ખરૂં તો ભુલી જ ગયો. જ્યાં ઈશ્વરે મોકળે હાથે સુખ પાથર્યું છે, જ્યાં ઈશ્વરની મોટાઈ અને શક્તિ પ્રકટ થઇ આવે છે, જ્યાં માણસની અશક્તિ તથા તુચ્છપણું જણાઈ આવે છે, જ્યાં ઈશ્વરનાં કામ કાળ પર્યંત ટકે છે, અને માણસનાં બનાવેલાં કામો થોડી મુદતમાં નાશ પામતાં માલમ પડે છે, જ્યાં પશુ, પક્ષી તથા બીજાં પ્રાણીઓની ઉપર પરમેશ્વરની અનંત દયા ડગલે ડગલે દીઠામાં આવે છે, ત્યાં માણસનું અંતઃકરણ નરમ તથા કોમળ થાય તેમાં શું આશ્ચર્ય ?
માધવના મનમાં જે દુષ્ટ તથા વિપરીત વિચારો ઉત્પન્ન થયલા હતા તે જો કે દબાઈ ગયા હતા, તો પણ તેઓનો સમળો નાશ થયો નહોતો, જ્યાં સુધી આવી રમણિક ભૂમિનો મહિમા રહ્યો ત્યાં સુધી તેનું મન શાંત રહ્યું, પણ જ્યારે તે મેવાડના મેદાન ઉપર નીકળ્યો, અને કાંઈ મનને વિચાર કરવાનું કામ મળે એવા દેખાવો તેના જોવામાં આવ્યા નહી, એટલે તે વિચારો પાછા તેના મનમાં પૂર જોસથી આવવા લાગ્યા. વળી હવે તેઓ બંને એકલા પડ્યા, અને એના એ વિષય ઉપર વાત કરવા લાગ્યા, તેથી દિલની આગ હોલાવવાને બદલે તે વધારે જુસ્સાથી બળવા લાગી; વાટ ઘણી લાંબી દીસવા લાગી, ખાવાપીવા કાંઈ ભાવે નહી, અને તેઓને જો કોઈ સંગાત મળ્યો નહોત, જો એ પ્રમાણે થવાથી તેઓનું મન બીજા વિષય ઉપર ગયું નહોત, તો માધવ રસ્તામાં માંદો પડત, અને તેનું ધારેલું કામ સિદ્ધ કીધા વિના તેનો આત્મા તેનો દેહ મુકીને ચાલ્યો જાત. પણ ગુજરાતના દુર્ભાગ્યને લીધે તથા મ્લેચ્છ લોકોનો દહાડો ચઢતો તેથી તેમ બન્યું નહીં.
તે વખતે ગુજરાતના કેટલાએક લોકો એકઠા મળીને ગોકુળ- મથુરાંજીની જાત્રાએ જતા હતા તેઓ તેમને મળ્યા. આવો સંગાત જોઈને માધવ તથા મોતીશા પણ તેઓમાં સામેલ થયા, અને તેઓ બદ્રીકેદારનાથજીની જાત્રા જાય છે એમ તેઓએ બીજા લોકને કહ્યું, સંઘના લોકો જુદી જુદી જ્ઞાતિના હતા, તેઓ બપોરે કોઈ ઝાડ નીચે જુદા જુદા ચુલા બનાવીને રસોઈ કરતા અને તડકાનો વખત ગાળીને પાછલા પહોરના અને થોડી રાત જાય ત્યાં સુધી ચાલતા. કેટલાએક ઘોડા ઉપર, અને કેટલાએક ગાડામાં બેસીને મુસાફરી કરતા. એ લોકોના સમાગમથી માધવ તથા તેના સોબતીને ઘણી ગમત થઈ, અને તેથી રસ્તો પણ ઘણો નીકળી ગયો, એ સંઘમાં એક વાણિયાની ન્યાતની ઘરડી ડોશી હતી તે એટલી તો વહેમી હતી, તથા તેની પાસે જે પુંજી હતી તે જાળવવાની તેને એટલી તો ફિકર હતી કે બીજા લોકો જાત્રાએ જાય છે તે વખતે પોતાની માલમતા પોતાના ગામમાં સગાને અથવા કોઈ બીજા વિશ્વાસુ માણસને સોંપી આવે છે તેમ તે ડોશીએ કીધું નહતું, આશરે સો મહોર જે તેણે દળી ખાંડીને તથા બીજાં વહીતરાં કરી મેળવી હતી તેનું એક પોટલું બાંધીને તે પોતાની પાસે જ રાખતી, અને રાતે ઉંઘતી વખતે તે પોટલું તેની બગલમાં ઘણા જોરથી દાબીને સુતી, તેની ઉંઘ એવી કુતરાના જેવી હતી કે તેને કોઈ જરા અડકે તે જાગી ઉઠી શેરબકોર કરી આખો સંઘ જગાડી દેતી, એ ડોશીની આવી રીતથી તેને સઘળા ચીઢવતા હતા. આખે રસ્તે મશ્કરી કરતા, અને રાત્રે ઘણી વાર તેને છેડીને વારે વારે તેને ભર ઉંઘમાંથી જગાડ્યાં કરતા હતા. તેને તે પૈસામાંથી એક પણ ખરચવો પડતો ત્યારે તેનો જીવ જ જવો બાકી રહેતો. જાત્રામાં ધર્મદાન થાય અને જે બાકી રહે તેમાંથી તેના મુઆ પછી ન્યાતમાં છૂટું ઘી પીરસાય એ તેની મોટામા મોટી ઉમેદ હતી. જીવતાં તો ન્યાતના તરફની આબરૂ મળી નહીં, ત્યારે મુઆ પછી ઉજવાવું અને ન્યાતના લોકો પાસે વાહવાહ કહેવડાવવી, એ તેને સ્વર્ગ જવા બરોબર ખુશી ઉપજાવનાર હતું; બલકે તેમ કીધાથી વૈકુંઠ જવાશે એમ તેને પક્કી ખાતરી હતી કેમકે તેનો એવો અભિપ્રાય હતો કે જેની મુઆ પાછળ વાહવા થઈ તે પરમેશ્વરને ત્યાં પણ સારી જ ગતિ પામે. તેનો એક ભત્રિજો તેની સાથે આવેલો હતો તે ઘણી ગરીબ હાલતમાં હતો, અને અગર જો તે ડોશીને કાંઈ છોકરાં નહતાં, અને પૈસા ખાનાર એ ભત્રિજા શિવાય બીજું કોઈ નહતું તો પણ જ્યાંસુધી તે જીવતી રહે ત્યાં સુધી તે ભત્રિજો ભુખે મરી જાય તો પણ તેને એક પૈસો પણ આપતી નહી. ડોસીનો વિચાર એવો હતો કે મરતી વખતે તે પુંજી ન્યાતના પટેલને સોંપવી, અને તેમાંથી તેના કહ્યા પ્રમાણે તેની મૈયતનો ખરચ થયા પછી જે બાકી રહે તે તેના ભત્રિજાને સોંપાવવું, એટલું છતાં પણ તે ડોશીનું તેના ભત્રિજા ઉપર ઘણું જ હેત હતું. અને તે જ્યારે માંદો પડતો ત્યારે તે મરશે તો પાછળ કોઈ પોતાને આગ મુકનાર રહેશે નહી એ ફિકરથી તે તેની પોતાના છોકરાના જેટલી બરદાસ્ત કરતી હતી તો પણ જ્યારે તે પૈસાના દુ:ખની વાત તેની આગળ કરતો ત્યારે તે વાત બદલી નાંખતી, અથવા મારી પાસે કાંઈ જ નથી એમ કહેતી. હવે ભત્રિજાને એવી ડોશી ઉપર હેત તો કયાંથી જ હોય ? ચાર દહાડા લાંઘણ કીધી હોય તો પણ ડોશી સુકો રોટલો પણ તેને ખવડાવે નહી તો એક પૈસો તો કયાંથી જ આપે ? માટે તે ડોશીની મરવાની ઘણી આતુરતાથી રાહ જોતો હતો, પણ જેમ તેની તેને મરવાની ઉતાવળ તેમ ડોશીનું આવરદા લાંબું થતું, અને તેને ઘણા ઘણા રોગ થઈ ગયા તો પણ રીઢા વાસણની પેઠે તેના શરીરને જરા પણ નુકસાન લાગ્યું નહતું, ભત્રિજાની પૈસા તરફની અવસ્થા વધારે વધારે ખરાબ થતી ગઈ. અને ડોશીનો લોભ દહાડે દહાડે વધતો ગયો, જ્યારે ડોશી જાત્રાએ જવા નીકળી, ત્યારે તેને તે પૈસા સોંપશે એવી તેણે આશા રાખી તે પણ ભંગ થઈ, ત્યારે પોતાની પાસે જે કાંઈ સામાન હતો તે વેચીને તેના થોડાએક પૈસા ઉપજાવ્યા અને તે લઈ તે પણ ડોશીની સાથે જવા નીકળ્યો. ડોશીને તે જરા પણ પરવડયું નહીં, પણ શું કરે? લાચાર. ભત્રિજાએ જતી વખતે જ નિશ્ચય કીધો કે હવે વધારે વા૨ સબુરી ન રાખતાં રસ્તામાં જ તેને ઠાર કરવી અને તેના પૈસા લઈ લેવા, પણ તે એટલી તો જાગૃત રહેતી તથા ત્યાં લોકોની આખી રાત એટલી તો વસ્તી હતી કે તેના દુષ્ટ વિચાર તેનાથી હજુ સુધી અમલમાં મુકાયા ન હતા. તેને લાગે મળતો નહતો તેથી તે ઘણો હીજરાયા કરતો હતો, અને જેમ જેમ દહાડા જતા ગયા, તેમ તેમ તેના ખુની વિચાર વધારે દૃઢ થતા ગયા.
એક વખત મધ્યરાત્રે સઘળાં ભર ઉઘમાં પડેલાં હતાં તે વખતે પેલો ભત્રિજો ઉઠ્યો, અને તે ડોશી પાસે જઈ એકદમ તેણે તેની ગળચી પકડી, અને તે બુમ પાડવાને મ્હોં ઉઘાડે છે એટલામાં એક ચીથરાનો ડુચો તેમાં ઘાલી દીધો. પછી ડોશીની ગળચી એવા તેા જોરથી દાબી કે તે ગુંગળાઈને તુરત મરણ પામી. ત્યાર પછી તેની બગલમાંથી પોટલું કાઢી પાસેના ઝાડ નીચે એક ખાડો ખોદીને દાટયું. અને ત્યાં સારી પેઠે નિશાની રાખી પાછો સુઈ ગયો. બીજે દહાડે સવારે લોકો જ્યારે વહેલાં ઉઠ્યાં ત્યારે તેઓએ ડોશીને જગાડવા માંડી, પણ ડોશીમા તો સ્વધામ પધારેલાં, તેથી કાંઈ જવાબ દીધો નહી; ત્યારે તેને જગાડવા સારૂ તેની બગલમાં હાથ ઘાલ્યો, પણ પોટલું કાંઈ માલમ પડયું નહીં. તે ઉપરથી સઘળાઓને વહેમ પડ્યો ને દીવો મંગાવીને જોયું તો ડોશીને મુએલી જોઈ, પણ તેનું મોત શી રીતે થયું તે કોઈથી નક્કી થઈ શકે નહીં. એવી ગડબડ થતાં જ તેને ભત્રિજો ત્યાં દોડતો આવ્યો, અને એકદમ મોટે ઘાંટો કાઢી છાતી કુટી રડવા મંડ્યો. ડોશીને કોઈએ મારી નાંખી, અને તેના પૈસા કોઈ લઈ ગયું એવી વાત થવા માંડી, એટલામાં ભત્રિજાએ આંખ લુંછી સાવધ થઈને આસપાસ જોયું અને કહ્યું કે આ નવા જાત્રાળુ આવેલા છે તેમાં એક તો શ્રાવક છે તેથી તે તો એવી હત્યા કરે નહી, પણ બીજો બ્રાહ્મણ છે તેના ઉપર મને ઘણો શક જાય છે, તેણે જ ખુન કીધું હશે, માટે તેને ઝાડો જોવો. એટલું સાંભળતાં જ તેણે તથા બીજા લોકોએ માધવને પકડ્યો, અને તેને સઘળો સામાન જોયો, તેમાં કેટલા એક પૈસા નીકળ્યા તે ડોશીના છે એમ તેનો ભત્રિજો કહેવા લાગ્યો, અને માધવને ઘણુંએ સમજાવ્યો તો પણ તેણે એવું કહ્યાં જ કીધું કે એ તો મારા છે, માધવના કહેવાથી તે ભત્રિજાને પતીજ થઈ નહીં તેથી પાસેના ગામના રાજા આગળ ફરિયાદ કરવી, અને ખરે ખુની માધવ છે કે નહી તેની તજવીજ કરાવવી એમ ઠર્યું.
બીજે દહાડે તેઓ એક મોટા ગામમાં જઈ પહોંચ્યા, ત્યાં ધર્મશાળામાં સઘળા સંઘે ઉતારો કીધો. જ્યારે સઘળા રસોઈ કરવામાં પડ્યા હતા તે વખતે તે ભત્રિજે તે ગામના રાજાના કારભારી આગળ જઈ સઘળી હકીકત કહી. કારભારીને પાનસોપારી પણ મળ્યાં, તેથી તેણે ઠરાવ કીધો કે તપાસ ચાલે તેમાં ભત્રિજાને બચાવી લેવો, પાછલે પહોરે જ્યારે દરબાર ભરાયો ત્યારે ભત્રિજો ત્યાં ગયો અને “ફરિયાદ” “ ફરિયાદ” બુમ પાડી, તે સાંભળી તેને રાજાએ પાસે બોલાવી તેની સઘળી વાત પૂછી લીધી, તેમાં કારભારીએ મરીમસાલો ભભરાવી આપ્યો, તે ઉપરથી રાજાએ હુકમ કીધો કે આવતી કાલે સવારે અગ્નિદિવ્ય કરવું, અને તે બ્રાહ્મણ ગુન્હેગાર છે કે નહી એ વાત નક્કી કરવી. તે વખતે ત્યાં જવાને રાજાએ કારભારીને હુકમ કીધો. બીજે દહાડે સવારે સૂર્યોદયની વખતે ગામના પાદર ઉપર એક લીમડાના ઝાડ આગળ હજારો માણસ જોવા મળ્યાં હતાં, ભત્રિજો આગળથી આવી ઉભો હતો. સંઘના લોકો માધવને લઈને આવ્યા, કારભારી ઝાડ નીચે એક શેતરંજી પથરાવી બેઠો અને થોડેક દૂર દેવતા સળગાવી તેમાં પૈડાંની લોઢાની વાટ એક લુહારે તપાવી લાલચોળ કીધી, તે વાટને કારભારી આગળ મુકી, ત્યારે પહેલાં તો ભત્રિજાને તે વાટ ભોંય ઉપરથી ઉંચકવાનો હુકમ થયો, ભત્રિજો આગળ આવી ઉભો રહ્યો, અને સૂર્ય તરફ મ્હોં ફેરવીને બોલ્યો, “સૂરજ બાપજી ! જો મારામાં સત હોય તો મારા હાથ દાઝવા દેતે માં” એમ કહી વાટને એક આંગળી અડકાડી, એટલે કારભારી બોલી ઉઠ્યો: “ બસ, હવે થયું, એ તે પાર પડ્યો, હવે એ બ્રાહ્મણે વાટ ઉંચકવી જોઈએ.” માધવ વાટને જોઈને થરથર ધ્રુજવા લાગ્યો, અને તેના શરીરમાં તમામ લોહી ઉડી ગયું, તે જોઈને લોકો માંહેમાંહે વાત કરવા લાગ્યા કે આ ચંડાળ બ્રાહ્મણે ખુન કીધું છે. માધવના મનમાં એ સાંભળી ઘણું કષ્ટ થયું, તેથી કોઈ વખત મળે તો ધીરજ આવે એ મતલબથી તેણે એક પાસેના કુવામાં નહાવા જવાની રજા માગી, રજા મળ્યા પછી પોતાનાં લુગડાં ઉતારીને કુવા પાસે ગયો, ત્યાં ઉભો રહી વિચાર કરવા લાગ્યો કે હવે શું કરવું? ‘સાચાનો હાથ ન બળે અને જુઠાનો બળે એ તો લોકોને વહેમ છે, એ હું સારી પઠે જાણું છું, સત્યયુગ અને બીજા પાછલા યુગમાં એમ થતું હશે; પણ આ કળિયુગમાં તો એવો પ્રત્યક્ષ ચમત્કાર બનતો નથી. શાસ્ત્રમાં કોઈવાર એમ કહે છે કે કળિયુગમાં ઈશ્વરના ચમત્કાર વધારે જોવામાં આવે છે, અને કોઈવાર કહે છે કે આ યુગમાં સઘળા દેવતાઓ ઉંઘે છે, ત્યારે શું માનવું? જગતમાં ઘણા સત્યવાદી લોકો ભુખે મરે છે, અને જુઠા લોકો પ્રપંચ કરી ગાડીઘોડે બેસીને ફરે છે, ત્યારે પરમેશ્વરની સહાયતા કયાં ગઈ? અગ્નિનો સ્વભાવ જ છે કે જે તેને અડકે તેને તે બાળે. ત્યારે સાચા જુઠાનો મેળ કયાં રહ્યો, માટે જો સાચવટ ઉપર ભરોસો રાખી વાટ હાથે ઉઠાવવા જઈશ તો હાથ બળશે જ, એટલે રાજા તથા લોક મને ખુની ઠરાવશે અને ચંડાળને હાથે મારૂં મોત આવશે. તે કરતાં આ કુવામાં ભુસકો મારી મરવું ઘણું સારું એવું વિચારીને તે કુવામાં પડવા જાય છે, એટલે નીચેથી એક ગેબી શબ્દ સંભળાયો, “सत्यमेव जयते” એ શબ્દ સાંભળીને તે ઘણું આશ્ચર્ય પામ્યો, અને આસપાસ કોઈ માણસ ન હતું તેથી તેની ખાતરી થઈ કે ઈશ્વરે કૃપા કરી મને ધીરજ આપી, પછી તુરતજ પાણી કાઢી સ્નાન કીધું, અને ભીને શરીરે ઉની વાટ આગળ ગયો. ત્યાં જઈને તેણે ઘણીએક વાર સુધી મહાદેવ તથા માતાજીની સ્તુતિ કીધી. પછી સૂર્ય તરફ ફરીને હાથ જોડીને બેલ્યો:– “રે સૂર્યદેવતા, તું પ્રત્યક્ષ દેવ છે, તારાથી છાનું કાંઈ કામ થઈ શકતું નથી, તું સઘળા માણસના મનના વિચાર જાણે છે, માટે જો મેં ડોશીનું ખુન કીધું હોય તો આ વાટ પકડતાં જ મારા હાથ બળી જજો, અને મારા ઉપર જુઠો આરોપ આવ્યો હોય તો જેમ એક ફુલ ઉંચકું તેમ એ વાટ મારાથી ઉંચકાજો.” એટલું કહી વાટ ઉંચકવાની તૈયારી કીધી, પણ જ્યારે તે વાટને ધગધગતી જોઈ અને તેની નીચેની ધૂળ પણ તાપથી તપી ગયેલી લાગી, ત્યારે ફરી તેની હિંમત છુટી ગઈ, અને તે ત્યાંથી પાછો હઠતો હતો એટલામાં તે વાટ ઉપર એક કીડીની હાર ચાલતી હોય એમ તેને ભ્રાંતિ થઈ એ કીડીને ચાલતાં જોઈને તેને ફરીથી ધીરજ આવી અને તેણે તુરત વાટ ઉચકી પોતાની ડોકમાં ભેરવી દીધી. સઘળા લોકો એ તમાશો જોઈ વિસ્મિત થયા, અને માંહેમાંહે કહેવા લાગ્યા કે, આ દુષ્ટ કળિયુગમાં પણ પરમેશ્વર ઉંઘતા નથી, પણ તે સાચાને મદદ કરવાને હજી પ્રવૃત્ત રહે છે. કારભારીએ તે વાટ માધવની ડોકમાંથી કઢાવી નંખાવી અને તેને ઘણું માન આપી રાજાની પાસે લઈ ગયો તેણે તેને બ્રાહ્મણ જાણી તેનું પૂજન કરી કેટલીએક સોનાની મહોર બક્ષિસ કીધી. માધવે કોઈ વખત આગળ દક્ષિણા લીધી નહતી, તો પણ તે વખતે તેની પાસે ઘણા પૈસા નહતા, અને દિલ્હીમાં તેને પોતાનું ધારેલું કામ પાર પાડવામાં પૈસાની કેટલી બધી જરૂર પડશે તે વાત સારી પેઠે તે જાણતો હતો, તેથી ઘણું નાખુશીની સાથે તેણે તે વખતે મહોરો લીધી, અને મોતીશાને બોલાવી સંઘમાંથી જુદા પડી એકલાં મુસાફરી કરવાનો ઠરાવ કીધો.
પહેલે જ દહાડે તેઓ એકલા અને વાટ દેખાડનાર કોઈ ભોમીયો નહી તેથી ભુલા પડ્યા, અને ધોરી રસ્તો છોડીને એક જંગલમાં પેંઠા, જેમ જેમ તેઓ આગળ ચાલતા ગયા તેમ તેમ જંગલ વધારે ગાઢું થતું ગયું, અને જ્યારે સાંજ પડી ત્યારે ત્યાં એટલું તો અંધારૂં થઈ ગયું કે એક ડગલું પણ તેઓનાથી આગળ જવાયું નહી. નિરાશ થઈને તેએાએ ઘોડાઓ ઉપરથી ઉતરીને ઘેાડા ઝાડ સાથે બાંધ્યા જંગલી જનાવરની દહેશતને લીધે તેઓ ઝાડ ઉપર ચઢી ત્યાં આખી રાત સુઈ રહેવાનો મનસુબો કરતા હતા, એટલામાં પાસેના ઝાડમાંથી બે બ્રાહ્મણો હાથમાં નાગી તલવાર લઈને તેઓની સામા ઉભા રહ્યા. જ્યારે તે ચારે જણની આંખ મળી ત્યારે બ્રાહ્મણો બોલ્યાઃ “યજમાન રાજા, કલ્યાણમસ્તુ, અમે દક્ષિણા લેવા આવ્યા છીએ.” માધવે આશ્ચર્ય પામીને તેઓની સામું જોઈને પૂછ્યું “ ગોરમહારાજ ! તલવાર ઉઘાડી રાખી દક્ષિણા માગતાં બ્રાહ્મણોને મેં મારી જીન્દગીમાં આજે જ જોયા. તમારી હકીકત કોઈ વિચક્ષણ હશે, માટે કૃપા કરી તમે કોણ છો, તથા તમારો ધંધો શો છે તે કહો.” બ્રાહ્મણ બોલ્યાઃ “યજમાન રાજા, અમે બે ભાઈઓ છીએ, અને અમે વેદાંતી ધર્મ પાળીએ છીએ. થોડાં વર્ષ ઉપર કાંઈ ધંધો ન મળવાથી અમે એવા તો દરિદ્રી થઈ ગયા, અને તેથી અમારી બાયડીઓ અમને એટલા તો રોજ ઠોક પાડવા લાગી કે કાંઈ પણ ધંધો કરવાનો અમે નિશ્ચય કીધો. એવામાં એક દહાડો એક વ્યાસજી વેદાંત ઉપર કથા કરતા હતા તે સાંભળવાને અમે બેઠા. કથામાં વ્યાસજી બેલ્યા: “આ જગત માયારૂપી છે ભાઈઓ, એક બાજીગરનો ખેલ છે, જેમ જાદુગર લોકો નજરબંધી કરી ધૂળ હોય ત્યાં પાણી દેખાડે છે તેમ માણસ સઘળું ખોટું દેખે છે, જગતમાં આત્મા અને પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી, જે જે પ્રાકૃતિક પદાર્થ આપણી ઈંદ્રિયોવડે માલમ પડે છે તેઓ ખરેખર જગતમાં છે જ નહી એ તો માત્ર આભાસ છે, જેમ સ્વપ્નમાં આપણને હજારો વસ્તુ દેખાય છે, અનેક શબ્દ સંભળાય છે, અને સઘળાં ઈંદ્રિયસુખ મળે છે, પણ જાગ્યા એટલે તેમાંનું કાંઈ ત્યાં હોતું નથી, તેમ આ જગતમાં આપણી અવસ્થા સ્વપ્નવત્ છે, પદાર્થ કાંઈ છે જ નહી. માટે રે ભાઈઓ, જગતમાં લોકો પૈસા મેળવવાને જે શ્રમ કરે છે તે સઘળો મિથ્યા છે. જેટલું લોકો મારુંતારું કરે છે, તે ફોકટ છે. અલ્યા મારું કાંઈ નથી અને તારું પણ કાંઈ નથી” એ કથા સાંભળીને અમારા મન ઉપર એટલી તો અસર થઈ કે અમે વેદાંતી થઈ ગયા, અને મારા અને તારામાં કાંઈ અંતર ગણવો નહી એવો નિશ્ચય કીધો. પછી એક વાર અમે અમારા યજમાનને ઘેર કાંઈ કામસર ગયા, ત્યાં એક પૈસાની થેલી પડી હતી તે જોઈને અમે વિચાર કરવા લાગ્યા કે આને માનવી પૈસો કહે છે, પણ ખરેખરે તો તે છે જ નહી, એ તો માત્ર આભાસ છે વળી જગત કારમું છે, તથા આવરદા ક્ષણભંગુર છે, તેથી એ પૈસા મુકીને યજમાનને કોઈ દહાડે જવું પડશે, અથવા એ પૈસા યજમાનને મુકીને જતા રહેશે, એ બેમાંથી એક વાત તો નિશ્ચય બનવાની જ, હવે યજમાન પૈસાને મુકીને હમણાં જાય એવો સંભવ નથી, અને જાય તો પણ તેથી અમને કાંઈ લાભ થાય નહી. ત્યારે પૈસાએ આજે યજમાનને મુકીને જવું જોઈએ. વળી મારુંતારું એ સઘળું મિથ્યા છે, માટે યજમાનના પૈસા અને અમારા પૈસા એમાં ભેદ શો ? એમ વિચારીને તે થેલી ઉંચકી લીધી, અને તે લઈને જતા હતા એટલામાં યજમાનના દુષ્ટ ચાકરોએ અમને પકડ્યા, અને યજમાનના કહેવાથી અમને રાજા આગળ લઈ ગયા. રાજાની આંખ ઉપર પણ માયાની અંધારી બાંધેલી તેથી તેણે મારાતારામાં ભેદ કહ્યો, અને વેદવ્યાસજીના વેદાંતમતથી વિરૂદ્ધ ચાલીને અમને પાંચ વર્ષ બંધીખાનામાં નાંખ્યા, કારાગૃહમાં એટલાં વર્ષ મફતનું, વગર મહેનતે ખાધા પીધા પછી અમને છોડી મુક્યા. હવે શું કરવું ? જગત તો દુષ્ટ માયામાં વિંટાયલું, અને પરમાત્મામાં લય પામવાનાં સાધન શોધવાને બદલે મારાતારામાં લડીમરી ઘાંચીના બળદની પેઠે ચોરાશીલાખના ફેરા ફર્યા કરે છે. એવા લોકોમાં સર્વોત્કૃષ્ટ વેદાંત મત ચલાવવા જઈએ તો સંકટમાં આવી પડીએ, તેથી ઋષિઓની પેઠે વનવાસ કરવો એવો નિશ્ચય કીધો; અને આ જંગલમાં ત્રણ મહીના થયાં આવ્યા છીએ, પણ લાડુ ને ઘી ખાધેલા તે હવે કંદ, મૂળ, ફળાદિનો આહાર શી રીતે થાય ? તેથી કોઈ યજમાન શોધવાને રાતની વખતે નીકળીએ છીએ. તમે પહેલા જ મળ્યા છો, માટે જો તમે વેદવ્યાસજીને માનતા હો તો લુગડાં પાઘડી આદિ જેને તમે તમારું કહો છો તે અમારૂં કરો, નહીં તે આ તલવારવડે તમને પરમાત્માનો મેળાપ કરાવી આપીશું.” માધવને એ બે વેદાંતી બ્રાહ્મણોની વાત સાંભળી ઘણું હસવું આવ્યું, અને પેટના દુ:ખથી તેઓના મગજ ઉપર અસર થઈ છે એમ સમજીને તેઓને એક સોનાની મહોર આપી, તે લઈને આ બંને ઘણા પ્રસન્ન થયા, વિદાય કરતી વખતે માધવે તેઓને બોધ કીધો કે હજી વેદવ્યાસજીનો મત દુનિયામાં ચાલ્યો નથી, માટે હવે પછી જો તમે મારુંતારું સમાન ગણવા જશો, તો આ તમારી જ તલવારથી તમને જ પરમાત્મા સાથે એાળખાણ કરવું પડશે. વેદાંતીભાઈ તેઓને આશીર્વાદ દઈ ચાલતા થયા.
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.
હવે પછીઃ પ્રકરણ ૫ મું
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
-
ગુલોંમેં રંગ ભરે (શેષ)
સંગીતની કેડીએ જિપ્સીનો વિસામો
કેપ્ટન નરેન્દ્ર ફણસે
મેહદી હસન સાહેબનો પરિવાર રાજસ્થાની પરંપરાનો. તેમનો પરિવાર મૂળ રાજસ્થાનના લૂણા ગામનો રહેવાસી હતો અને ઘણી પેઢીઓથી તેમને રાજ્યાશ્રય મળ્યો હતો. ભારતીય શાસ્ત્રીય સંગીતના સાધક એવા આ પરિવારે ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. દેશના ભાગલા થયા અને કઇ આશા આકાંક્ષા સાથે મેહદી હસનના વાલિદસાહેબ તથા તેમના અન્ય બુઝુર્ગોએ પાકિસ્તાન જવાનો નિર્ણય કર્યો, એ તો તેમને જ ખબર. પણ આ નિર્ણયને કારણે તેમને તથા તેમના પરિવારને શરૂઆતમાં ઘણી મુસીબતો ઉઠાવવી પડી. ખુદ મેહદી હસનને દહાડીયા તરીકે મજુરીથી માંડી સાઇકલ રિપૅરીંગનું કામ કરવા જેવી મહેનત કરવી પડી. રોજ વાલીદ સાહેબ પાસે રિયાઝ અને બાકીનો સમય પરિવાર માટે આજીવિકા કમાવવા બહાર જવું. આ મહેનતે તેમના સ્વભાવમાં કડવાશને બદલે નમ્રતા તથા લોકોની મુસીબત સમજવાની શક્તિ આવી. નિરાભિમાન તેમના ચારિત્ર્યનું અંગ બની ગયું. જિપ્સીનું માનવું છે કે આ કારણે તેઓ અમીરથી વધુ અમીર અને ગરીબથી ગરીબ ચાહક પ્રત્યે સમાનત્વ બક્ષતા રહ્યા. આનું ઉદાહરણ અહીં જોઇએ.ભારતીય સિને જગતના બીજી કક્ષાના એક પ્લેબૅક ગાયિકાએ કોણ જાણે કેવી રીતે મેહદી હસન સાહેબને કરારબદ્ધ કરી ભારત બોલાવ્યા અને મોટા શહેરોમાં કાર્યક્રમો યોજયા. ટિકીટના દર એવા રાખ્યા, જે સામાન્ય રસિકને ન પોષાય. અમદાવાદમાં તેમનો કાર્યક્રમ શાહીબાગના પોલિસ સ્ટેડીયમમાં રખાયો હતો. મેહદી હસન સાહેબની નજીક, તેમની સમક્ષ બેસી આનંદ માણનારા શ્રોતાઓ માટે તે સમયની માતબર ગણાતી રકમ ૧૦૦૦ રૂપિયાની ટિકીટ રાખી. તે વખતે સરકારી ક્લાર્કનો પગાર કેવળ ૧૦૦ રુપિયાનો હતો! નિમ્ન કક્ષાની, પોડીયમથી બસો ગજ દૂર સ્ટેડીયમના પગથિયા પર બેસી સાંભળનારાઓ માટે ટિકીટનો દર ૧૦૦ રૂપિયા – આમ આદમીની એક મહિનાની કમાઇ જેટલો રાખ્યો. તેમ છતાં ત્રણસો-એક ચાહકો ‘પગથિયાં’ની ટિકીટ લઇ કાર્યકમ સાંભળવા ગયા. હજાર રુપિયાની ટિકીટ વાળા કેવળ ૨૫-૩૦ લોકો હતા. કાર્યક્રમ શરૂ થયો. મેહદી હસન સાહેબે જોયું કે મોટા ભાગના શ્રોતાઓ દૂર હતા, તેમણે બધા ‘પ્રોટોકોલ’ છોડી જાહેર કર્યું, “દૂર બેસેલા મારા અઝીઝ હાઝરીન, આપ મારી નજીક આવીને બેસો. સંગીતના દરબારમાં કોઇ મોટું નથી, નાનું નથી.” અને બધા શ્રોતાઓને તેમના સાન્નિધ્યમાં બેસી તેમનું સંગીત માણવાનો મોકો મળ્યો. આવા હતા મેહદી હસન સાહેબ. જિપ્સી આ વાતનો સાક્ષી છે.
મેહદી હસન જ્યારે મિકેનીકનું કામ કરતા હતા, ત્યારે તેમના કાકા કરાંચી છોડી લાહોરના ગયા અને સંગીત નિર્દેશક તરીકે નામ કમાવ્યું. તેમણે મેહદી હસનને ફિલ્મોમાં ગાવાનો મોકો આપ્યો. શરૂઆતની અસફળતા બાદ ‘ગુલોમેં રંગ ભરે’એ તેમને એકાએક મોટા ફલક પર લાવ્યા. બસ, ત્યાર પછી તેમણે પાછા વળીને જોયું નહિ. એક પછી એક ગઝલ, નઝમ, ગીત, લોક ગીત લોકોનાં હૃદયમાં વસી ગયા.
તેમણે ગાયેલી ગઝલોની શી વાત કરીએ! તેમણે ‘રંજીશ હી સહી’ ગાઇને ફરી એક વાર ઝંઝાવાત ઉભો કર્યો. તેની મિઠાશ, પ્રિયતમાને ફરી એક વાર પાછા આવવા માટે વિવિધ પ્રકારે કરેલી ઇલ્તજા ખરેખર માણવા જેવી છે. લગ્નોમાં, જન્મોત્સવમાં કે પછી કોઇ પણ પારિવારીક કે સાર્વજનીક કાર્યક્રમમાં જતા ગાયકોને લોકો આ ગઝલની ફરમાયેશ અને વારંવાર ઇર્શાદ આપવા લાગ્યા. એટલી હદ સુધી કે રૂણા લૈલા, અનુરાધા પૌડવાલ અને તલત અઝીઝ જેવા ગાયકો પોતાના કાર્યક્રમમાં ‘સ્ટાર આઇટમ’ તરીકે આ ગઝલ પેશ કરવા લાગ્યા!
આપે તેમની ‘રંજીશ હી સહી’ સાંભળી જ હશે. લંડનમાં થયેલ એક કાર્યક્રમમાં તેમણે આ ગઝલની નજાકત સમજાવીને ગઝલ પેશ કરી હતી તે ખરેખર આશ્ચર્યકારક હતી. અહીં આ ગઝલના શબ્દો, તેનો અર્થ અને ગઝલ રજુ કરીએ છીએ. અલબત્, આજે પણ આ કામમાં અસગરભાઇનો ફાળો જરૂર જોવા મળશે.
“રંજીશ હી સહી, દિલ કો દુખાને કે લિયે આ!
આ ફ઼િર સે મુઝે છોડ કે જાને કે લિયે આ!”મારા પ્રત્યે તમને રંજ છે તેથી તમે મને છોડીને ચાલ્યા ગયા છો તે હું જાણું છું. તમારી રંજીશને હું તમારી ઇનાયત સમજીને તમને બોલાવું છું. જેથી તમે ફરી એક વાર છોડી જવા માટે મારી પાસે આવો!
પહેલે-સે મરાસીમ ના સહી ફિરભી કભી તો
રસ્મ-ઓ-રહે દુનિયા હિ નિભાને કે લિયે આ!મરાસીમ એટલે સંબંધ. પહેલે-સે એટલે પહેલાં જેવા. આપણી વચ્ચે પહેલાં જેવા (પ્રેમાળ) સંબંધ ભલે ન હોય, પણ દુનિયાને તો આપણાં જુના સંબંધ યાદ છે. દુનિયાની રસમ એવી છે કે મિત્રો ફરી મળે. આ રસમ નિભાવવા માટે તો આવ!
કિસ કિસ કો બતાયેંગે જુદાઇકા સબબ હમ?
તુ મુઝ સે ખ઼ફા હૈ તો ઝમાને કે લિયે આ!આ ઉપરના શે’રને સહેજ જુદી રીતે, પણ સહેજ સરળ ઉર્દુમાં પેશ કર્યો છે.
કુછ તો મેરી પિંદારે મોહબ્બત કા ભરમ રખ
તુ ભી તો કભી મુઝ કો મનાને લે લિયે આ!પિંદાર એટલે માન/ ઇજ્જત. મતલબ છે, મારો તમારા પ્રત્યેનો પ્રણય ઉત્કટ છે એવો મને ભલે ભ્રમ હોય, તેમ છતાં મારા પ્રેમની કદર કરવા માટે તો તમે આવો!
એક ઉમ્ર સે હું લઝ્ઝત-એ-ગિર્યા સે ભી મેહરૂમ
અય રાહતે જાં, મુઝ કો રુલાને કે લિયે આ!જીંદગીભર તમારી ઝંખના કરવા છતાં હું તમારા સંગની ખુશીથી હું વંચિત રહ્યો છું. હું જાણું છું કે તમે મારા પર ખુશ નથી, પણ મારા જીવને રાહત આપનાર આપના સંગનો લાભ આપીને જતા રહો તો મને રડવું તો જરૂર આવશે. આ રૂદન મને માન્ય છે તેથી મને ફરી રડાવવા માટે કેમ ન હોય, પણ આવશો જરૂર.
અબ તક દિલે ખ઼ૂશફ઼હેમ કો તુઝ઼ સે હે ઉમ્મીદેં
યે આખરી શમ્મેં ભી બુઝાને કે લિયે આ!હજી સુધી તો મારૂં હૃદય તમારી વ્યર્થ આશા રાખીને દુ:ખીત રહ્યું છે
પણ મારી આશાના દિપકની જ્યોતને બુઝાવવા માટે તો આવો!)હવે ‘રંજીશ હી સહી’ મેહદી હસન સાહેબના સ્વરમાં સાંભળીએ:
મેહદી હસન સાહેબનું કલેવર ભલે પાકિસ્તાનમાં હોય, પણ તેમની રૂહ રાજસ્થાની હતી. કોઇ પણ કાર્યક્રમ પહેલાં પરિચયમાં તેઓ હંમેશા તેમના પરિવારના રાજસ્થાનમાંના સાડાત્રણસો વર્ષનો ઇતિહાસ જરૂર કહેતા. દેશના ભાગલા બાદ તેઓ મરૂભૂમિથી દૂર રહ્યા, પણ ‘કેસરીયા બાલમા, પધારો મ્હારે દેશ’ તો તેમના હૃદયની સિતારમાં હંમેશા બજતો રહ્યો. અને તેમણે ‘કેસરીયા’ ગાયો સુદ્ધાં. સાંભળો તેમનો અણીશુદ્ધ રાજસ્થાની માંડ!
શરૂઆતમાં પોતાની આવડત, પ્રતિભાની ઝલકથી લોકોમાં આશા જન્માવતા કલાકારો પૈસાની આંધળી દોટમાં તેમની પ્રતિભાને geniusમાં પરિવર્તીત નથી થવા દેતા. આનું કારણ હોય છે તેઓ અંગ્રેજીમાં કહેવાય છે તે પ્રમાણે તેઓ ‘Playing for the Gallery’ કરવા લાગે છે. આ જુનો શબ્દપ્રયોગ છે. જુના જમાનામાં “pit class’ના લોકો – જેમને કલાની જરા જેટલી પરખ ન હોય પણ તેમને titillate કરે તેવા ગીતો ગાઇ, તેમને ખુશ કરી ગૅલેરીમાંથી નાણાંનો વરસાદ થવા માટે ગાવા પાછળ આખી જીંદગી ગાળી પ્રતિભાનું બલિદાન આપતા હોય છે. આવા લોકો ઘોડદોડના મેદાનમાં કદી અવ્વલ સ્થાન ન પામનારા ‘Also ran‘ અશ્વની જેમ રહીને ભુલાઇ જાય છે. Playing for the Gallery કરનારા ગાયકોના અનેક ઉદાહરણ જોવા મળશે. એક વાર ઉત્તમ ગઝલ ગાયક કે અદ્વિતિય સંગીતકાર થવાની ક્ષમતા ધરાવનાર ગાયક તરીકે આશા જન્માવનાર કેવળ “ભજન સમ્રાટ‘ બનીને રહી જાય એવું પણ જોવામાં આવ્યું છે.
લોકભોગ્ય સંગીતની બાબતમાં પોતાની કલાનો ઉત્તમ દરજ્જો જાળવવામાં મેહદી હસન સાહેબનું ઉદાહરણ અનોખું છે. આપે ‘રાફતા રાફતા વોહ મેરી…’ સાંભળ્યું છે?
જિપ્સીને આશ્ચર્ય ત્યારે થયું કે પંજાબની સરહદે તેનાં જવાન આ ગઝલની પંક્તિઓ “પહલે જાઁ, ફિર જાન-એ-જાઁ…‘ આરામથી ગાતાં! આવી હતી તેમની આમ જનતામાં appeal! ગીતની શરૂઆત કરતાં જ લોકોમાં તાળીઓનો ગડગડાટ શરૂ થઇ જતો.
+ + +
મેહદી સાહેબ ગંભીર માંદગીમાં કરાંચીમાં દિવસો ગાળે છે. ભારત સરકારે તેમને ખાસ આમંત્રણ આપ્યું: ‘પધારો મ્હારે દેશ..” અમે તમારી સારવારનો પૂરો ખર્ચ ઉપાડીશું.
આમાં મહત્તા ફક્ત બે વાતોની છે: મેહદી સાહેબની કલાની અને બીજી તેમની કલાની કદર કરનારાઓની. કલા કદી સીમાની મોહતાજ નથી. નથી મોહતાજ તે હકૂમતની. હકૂમત તો આવા કલાકારોની કાયમ માટે ચાલતી રહી છે – જનતાના હૃદય પર!
આજનો પ્રયાસ કેવળ એક મહાન કલાકારને અંજલિ આપવાનો છે. મેહદી હસનસાહેબનો પરિચય કરવાની કોશિશ એટલે સૂર્યના પ્રકાશનું વર્ણન કરવા જેવું છે!
-
ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૬
રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

અલ્પા શાહ
નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનુંભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળવધારતા, ચાલો આજે એક નવી રચનાને જાણીએ અને માણીએ.
આપણે જાણીએ છીએ તેમ, કવિવરનું કલાસભર વ્યક્તિત્વ આધ્યાત્મિકતાથી સરભર છલકતું હતું. તેમના જીવન જીવવાના દ્રષ્ટિકોણમાં શરીર ગૌણ અને આત્મા કેન્દ્રસ્થાને હતો. તેઓ દ્રઢપણે માનતા કે તેમની અંદર જે દિવ્ય શક્તિ રહેલી છે તેજ તેમની સર્જનાત્મકતાનો સ્તોત્ર બની રહી છે. ગુરુદેવ તેમનામાં રહેલી એ દિવ્ય શક્તિ સાથે સતત જોડાયેલા રહેતા, તેમના આત્માના અવાજ સાથે સતત સંવાદ સાધતા રહેતા અને તેમની ભીતરમાં પ્રજ્વલિત જ્યોત સાથે અનુસંધાન સાધતા રહેતા અને કદાચ એટલેજ એમના લખાણ અને કવિતાઓમાં એક આધ્યાત્મિક ઊંડાણ જોવા મળે છે.
આત્માના સાદ સાથે નિત્ય સંવાદ રચતા ગુરુવર માટે આ ભીતરની ગુંજ(inner voice) તેમનું જીવનચાલક બળ હતું. આ આત્માના સાદને કેન્દ્રમાં રાખીને રચેલી એક સુંદર સંવેદનશીલ રચનાને આજે આપણે જાણીશું. ૧૯૨૨માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે আমি কান পেতে রই (Aami Kaan Pete Roi) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “એ અનાહત નાદ…”. જેનું સ્વરાંકન કવિવરે રાગ બિભાસમાં કર્યું છે અને તેનેદાદરા તાલ દ્વારા તાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદકરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનોપ્રયત્ન કરીશું. આ રચનાને કવિવરે પૂજા વિભાગમાં વર્ગીકૃત કરી છે
એક અનાહત નાદ…
ભીતર ઉઠતી ગુંજને પારખવા જયારે મારા કાન રહે મંડાય
ત્યારે એક અનાહત, અવિનાશી નાદ સતત મને સંભળાય
ક્યારેક મૌન રુદન તો ક્યારેક હરખની હેલીના સૂર છેડાયક્યારેક સૂનકાર તો ક્યારેક કોલાહલનું સામ્રાજ્ય રચાય
ક્યારેક નીલકમળને ખોજતા ભ્રમરની સતત ગુંજ સુણાયક્યારેક અંધકારમાં એકાકી પંખીનું વિરહગાન વલોવાય
ના કદી દેખાય, ના કદી સ્પર્શાય કે ના એનો પીછો કરાયબસ, એનો દિવ્ય અહેસાસ ફક્ત મારા અંતરે અનુભવાય
એ સતત મને કંઈ કહ્યા કરે સતત મારી આસપાસ રહ્યા કરે
એનો સંદેશ સૂર અને શબ્દ બની મારા થકી વહ્યા કરે,અવિરત વહ્યા કરે…
©અલ્પા શાહ
ભીતરની ગુંજ એટલેકે inner voice એટલેકે આપણા અંતરાત્માનો અવાજ. આ રચનામાં કવિવરે ખુબ નજાક્તતાથી એના અસ્તિત્વનું સમર્થન તો કર્યું જ છે અને સાથેસાથે એ ભીતરની ગુંજ દ્વારા અપાતા સંદેશા તેમના શબ્દો અને સૂર દ્વારા વહી નીકળે છે તે પણ સુપેરે રજુ કર્યું છે અને કવિવરની રચનાના ઊંડાણને જોતા કદાચ આ ભાવ માત્ર ભાવ નહિ પણ હકીકત લાગે છે. આ ભીતરની ગુંજ પણ આપણા મનોભાવો પ્રમાણે આપણને જુદા જુદા સંદેશ આપતી હોય તેવા ભાવ આ રચનામાં વ્યક્ત કરેલ છે.
મારા, તમારા અને આપણા સૌમાં આ ભીતરની ગુંજ સતત ગુંજ્યા કરે છે, આપણને જીવનમાં GPS બની સતત સાચો માર્ગ દેખાડવા પ્રયત્ન કરે છે. પણ આપણે જ કદાચ કાન દઈને સાંભળવા તૈયાર નથી હોતા. આ ભીતરની ગુંજ તો એકદમ નિર્મળ અને અણીશુદ્ધ હોય છે પણ આપણે આપણી અંદરના દૂન્યવી કોલાહલને લીધે આ અવાજ કોઈક વાર દબાઈ જાય છે અથવા આપણા મનોભાવો પ્રમાણે આપણને જે સાંભળવું હોય તેજ આપણે સાંભળીએ છીએ.
જયારે સમગ્ર જગતથી તમે એકલા થઇ ગયા હોય, જયારે જિંદગી કોઈક આંટીઘૂંટીમાં અટવાઈ હોય કે પછી જયારે મન તેની તર્કશક્તિ અને વિચારશક્તિ ગુમાવી બેસે એવા સંજોગો ઉભા થાય ત્યારે આ ભીતરનો નાદ આપણો હાથ ઝાલીને સાચા રસ્તે લઇ આવશે – જો આપણે તેને શાંત ચિતે સાંભળવાનો પ્રયત્ન કરીશું તો….
આપણા અંતરનો અવાજ એ તો આપણામાં રહેલા પરમ ચૈતન્યના અંશના અસ્તિત્વનું પણ સમર્થન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં અનેક શ્લોકમાં આપણા આત્મામાં એમની પરમ શક્તિનો અંશ રહેલો છે તે રજુ કર્યું છે જેમકે
तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तम: ।
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वताએટલેકે પરમાત્માની કૃપાથી તેમની દિવ્ય શક્તિનો અંશ આપણામાં પ્રજ્વલિત રાખે છે અને આ દિવ્ય શક્તિનો અંશ જે આપણામાં રહેલો છે તેના થકીજ મારો-તમારો શ્વાસ ચાલે છે અને તેથીજ વૈદિક વિચારધારા પ્રમાણે આ ભીતરની ગુંજ એટલેકે એટલે એક અનાહત નાદ, મારા શ્યામનો સાદ અને પરમ પરમાત્માનો પ્રસાદ …
તો ચાલો, આ ભીતરની ગુંજને સતત સાંભળતા અને સમજતા રહેવાના પ્રયત્ન કરવાના નિશ્ચય સાથે હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,
સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
