વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • રાષ્ટ્રગાનની રોચક વાતો

    માહિતી જંક્શન

    વિશાખા મોઠીયા

    ઓગસ્ટ મહિનો એટલે આઝાદીનો મહિનો; શિવભક્તિ અને દેશભક્તિનો મહિનો.  જેમ કોઈ આરતી કે ભજન એ જે તે દેવ પ્રત્યેનો ભક્તિભાવ છે એવી જ રીતે રાષ્ટ્રગાન પણ જે તે દેશ પ્રત્યેનો ભક્તિભાવ (દેશ ભક્તિ) દર્શાવે છે. ઘણાંય દેશોમાં રાષ્ટ્રગાન તરીકે માત્ર સંગીતની ધૂન જ છે, જ્યારે આપણા ભારત દેશનું રાષ્ટ્રગાન શબ્દ તેમજ સંગીત એમ બંને સ્વરૂપે છે. આ રાષ્ટ્રગાન જેટલું વૈવિધ્ય સભર છે એની રચના પણ એટલી જ રોચક છે. તો ચાલો જાણીએ –  કઈ રીતે આપણા ભારત દેશને સમર્પિત એવા રાષ્ટ્રગાનની રચના થઈ ? તેમજ તેની અન્ય વિશેષ બાબતો વિશે.

    જન ગણ મન… એ આપણા ભારત દેશનું રાષ્ટ્રગાન ~ રાષ્ટ્રગીત છે. જેની રચના ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા વર્ષ : ૧૯૧૧માં કરવામાં આવી હતી. રાષ્ટ્રગાન આપણા દેશના બે રાષ્ટ્રીય તહેવાર : પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્ર્ય દિનના રોજ તિરંગાનું ધ્વજારોહણ કર્યા બાદ સલામી આપી, સાવધાન મુદ્રામાં ગાવામાં આવે છે. રાષ્ટ્રગાન એ આપણા ભારત દેશની વિવિધતામાં એકતા, ભૌગોલિક વિસ્તાર, સમગ્ર ભારતીયવાસીઓનો દેશપ્રેમ ~ ભાઈચારો વગેરેનો મહિમા સમજાવે છે. રાષ્ટ્રગાન ૫૨ ~ બાવન સેકન્ડની અવધિમાં ગાવાનું હોય છે, સ્પષ્ટ ઉચ્ચારણ સાથે. પરંતુ અમુક જગ્યાએ રાષ્ટ્રગાનની માત્ર પહેલી અને છેલ્લી પંક્તિ ગાવામાં આવે છે, જે વીસ સેકન્ડમાં ગાવાની હોય છે.

    રાષ્ટ્રગાનની રચના

    રાષ્ટ્રગાનની રચનામાં ટાગોરસાહેબ તો મુખ્યરૂપે છે જ, પરંતુ એની સિવાય નેતાજી સુભાષચંદ્ર બોઝે ટાગોર સાહેબની આ રચનાને ભારતના રાષ્ટ્રગાન તરીકેનો દરજ્જો અપાવવા સુધી લઈ જવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

    આપણા રાષ્ટ્રગાન ‘જન ગણ મન…’ ની સૌપ્રથમ રચના ૧૧ ડિસેમ્બર, ૧૯૧૧માં કવિવર રવીન્દ્રનાથ ટાગોર દ્વારા બંગાળી ભાષામાં કરવામાં આવી હતી. બંગાળી ભાષામાં તેનું નામ ‘ભારત ભાગ્યો બિધાતા…’ હતું.

    ૨૭ ડિસેમ્બર, ૧૯૧૧ના રોજ, કલકત્તા ખાતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું બીજું અધિવેશન યોજાયું હતું. અધિવેશનના બીજા દિવસે આ બંગાળી વર્ઝનનું ગીત ખુદ ટાગોર સાહેબ દ્વારા સૌપ્રથમવાર રજૂ કરવામાં આવ્યું હતું. ભારત ભાગ્યો બિધાતા – ગીતમાં જે રીતે ભારત દેશના અલગ અલગ પ્રાંતોનું વર્ણન કરવામાં આવ્યું હતું, તેમજ જે રીતે ભારતની પ્રજાને દેશના અધિનાયક તરીકે બિરદાવવામાં આવી હતી; એના એક એક શબ્દો – પંક્તિઓ સમગ્ર ભારતવાસીઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ, નેતાઓના હ્રદયમાં વસી ગયું હતું. આ ઉપરાંત આ જ વર્ષમાં તે તત્ત્વબોધીની નામક પત્રિકામાં પણ પ્રકાશિત થયું હતું.

    ટાગોર સાહેબે આ ગીત ૨૭ ડિસેમ્બર , ૧૯૧૯ના રોજ આંધ્રપ્રદેશના મદનપલ્લી શહેર ખાતે આવેલ બેસન્ટ થીઓસોફિકલ કોલેજમાં રજૂ કર્યું હતું. ત્યાંના પ્રોફેસર ડૉ. કસિન્સની રિકવેસ્ટથી ૨૮ ફેબ્રુઆરી, ૧૯૧૯ના રોજ ટાગોર સાહેબે આ ગીતનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું, જેનું શીર્ષક The Morning Song of India હતું.

    અંગ્રેજી અનુવાદ, રબિન્દ્રનાથ ઠાકુરના હસ્તાક્ષરમાં

    હવે વાત આવે છે વર્ષ : ૧૯૪૨ની.

    આ સમયમાં ભારત દેશની આઝાદી માટેની ચારેકોર તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝ જર્મનીમાં  તેના આઝાદ હિંદ ફોજના જવાનોને અંગ્રેજ વિરુદ્ધ લડવાની ઉગ્ર તાલીમ આપી રહ્યા હતા. તેઓને થયું કે – ફોજના જવાનોમાં જોશ વધારવા માટે તેમજ એક્તા લાવવા માટે એક દેશભક્તિ ગીતની ખાસ જરૂર છે, જે આ જવાનોમાં ભારત દેશની આઝાદી માટેની લડાઈમાં જોશ વધારી શકે તેમજ ભારતની એક્તા અને અખંડિતતા સમજાવી શકે.

    ૧૧ સપ્ટેમ્બર, ૧૯૪૨માં જર્મનીનાં હેમ્બર્ગ ખાતે જર્મન – ઇન્ડિયન સોસાયટીના ઉદઘાટન વખતે ટાગોર સાહેબની આ રચના હેમ્બર્ગ રેડિયો સિમ્ફોની ઓર્કેસ્ટ્રા દ્વારા ઇન્સ્ટ્રમેન્ટલ સ્વરૂપમાં રજૂ કરવામાં આવી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝ આ ગીતથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે – તેમણે તો એ જ દિવસે  આ સંસ્થામાં યોજાયેલ એક મીટીંગમાં આ ગીતને આઝાદ ભારતના રાષ્ટ્રગાન તરીકે જાહેર કરી દીધું હતું.

    આ ઉપરાંત તેમણે ટાગોર સાહેબના આ ગીત (જન ગણ મન…) ને લઈને તેની આઝાદ હિંદ ફોજ (ઇન્ડિયન નેશનલ આર્મી – INA) માટેનું એક દેશભક્તિ ગીત હિન્દી અને ઉર્દૂ એમ બંને ભાષામાં રચવાનું નક્કી કર્યું. રાષ્ટ્રગાનના રૂપાંતરનું કામ તેમણે આઝાદ હિંદ ફોજના ઓફિસર : મુમતાઝ હુસૈન અને કર્નલ આબિદ હસન સફરાનીને સોંપ્યું હતું. વર્ષ : ૧૯૪૩માં રાષ્ટ્રગાનનું હિન્દીમાં રૂપાંતર થયું, જેનું શીર્ષક ‘શુભ સુખ ચૈન…’ હતું. INA ના કેપ્ટન રામસિંહ ઠાકુરે આ હિન્દી અનુવાદિત ગીતને મિલેટ્રી ધૂનમાં કમ્પોઝ કર્યું.

    વર્ષ : ૧૯૪૪ માં ફિલ્મ નિર્માતા બિમલ રોય એ તેની ફિલ્મ ‘ઉદયેર પથ્થે’ માં ટાગોર સાહેબનું ગીત ‘ભારતો ભાગ્યો બિધાતા’ ફીચર કર્યું હતું, ત્યારબાદ તેમણે વર્ષ : ૧૯૪૫  તેની આ જ ફિલ્મના હિન્દી વર્ઝન ‘હમરાહી’માં પણ ફરી એકવાર ટાગોર સાહેબનું આ ગીત મોટા પડદે રજૂ કર્યું હતું.

    હવે દેશ જ્યારે આઝાદ થયો ત્યારે વિદેશી સરકારો ત્યાંની ઇન્ડિયન એમ્બેસી સાથે ચર્ચાઓ કરી રહી હતી કે – આંતરરાષ્ટ્રીય સંમેલનો, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભારતીય તહેવારો, વાણિજ્યિક સંમેલનો – સમિટ વગેરેમાં ભારત દેશ તરફથી આ આઝાદ નવા ભારતને રજૂ કરતા એક રાષ્ટ્રગીતની જરૂર પડશે. એટલા માટે એ અંગે તેમણે આપણી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીને પૂછ્યું કે કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો, સંમેલનો, મીટિંગોમાં ભારત તરફથી કયું ગીત રજૂ કરવામાં આવશે ?

    ૨૫ ઓગસ્ટ, ૧૯૪૮ની કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં ભારતના રાષ્ટ્રગાન અંગે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. અને એસેમ્બલીમાં પંડિત જવાહરલાલ નહેરુએ જણાવ્યું કે – ‘જન ગણ મન… ‘ ગીત પહેલેથી જ નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ દ્વારા એની અલગ ધૂનમાં દક્ષિણ પૂર્વ એશિયામાં (હેમ્બર્ગ – જર્મની) રજૂ થઈ ચૂક્યું છે અને ભારતમાં પણ આ ગીત અમુક હદ લોકપ્રિય બની ગયું છે.

    અને આખરે ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ યોજાયેલ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીના છેલ્લા સેશનમાં એસેમ્બલીના પ્રેસિડેન્ટ અને આપણા નવા આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ દ્વારા કવિવર રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લિખિત ‘જન ગણ મન…. ‘ ગીતને ભારતનું ઔપચારિક રાષ્ટ્રગાન ~ રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું.

    વિશેષ બાબતો :- 

    – રાષ્ટ્રગાન અલ્હૈયા બિલાવલ રાગમાં સંગીતબદ્ધ કરવામાં આવેલ, જેમાં રવીન્દ્રનાથ ટાગોરની સાથે તેના પૌત્ર ભત્રીજા (grand nephew) દિરેન્દ્રનાથ ટાગોરે પણ પોતાનું યોગદાન આપ્યું હતું. દિરેન્દ્રનાથ ટાગોર એ સમયના એક મહાન સંગીતકાર હતા.

    – કોઈ રાજ્યમાં રાષ્ટ્રીય સ્તરનો પ્રોગ્રામ હોય અને એમાં જો રાષ્ટ્રપતિ આમંત્રિત હોય ત્યારે તેના આગમન અને વિદાય વખતે ધૂન વગાડવામાં આવે છે. –  રાષ્ટ્રગાન તરત નથી શરૂ કરી દેવામાં આવતું. રાષ્ટ્રગાન શરૂ થાય એ પહેલાં અમુક વિશેષ સંકેતો દ્વારા ઉદ્‍ઘોષ કરવામાં આવે છે, મ્યુઝિક બેન્ડ વગાડવામાં આવે છે. જેમ કે – રાષ્ટ્રગાન શરૂ થાય એ પહેલાં ધ્વજારોહણ કરનાર વ્યક્તિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે, ૭ કદમનું માર્ચિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત બિંગુલ કે મૃદંગ ઢોલ વગાડવામાં આવે છે.

    – આ ઉપરાંત રાષ્ટ્રગાન નીચે મુજબના રાષ્ટ્રીય સ્તરના પ્રોગ્રામ – સમારોહમાં વગાડવામાં આવે છે :

      • સેનાની ત્રણેય પાંખોના જવાનોને વીરતા પુરસ્કાર કે ચક્ર એનાયત કરવાનું હોય ત્યારે.
      • રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ સમારોહમાં જેવા કે : પદ્મ પુરસ્કાર, ખેલરત્ન એવોર્ડ, નેશનલ ફિલ્મ એવોર્ડ વગેરે.
      • કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના સમારોહમાં રાજ્યપાલના આગમન સમયે તેમજ તેને સલામી આપતી વખતે.
      • પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસની પરેડ વખતે.
      • કેન્દ્ર સરકાર દ્વારા માન્ય અન્ય રાજકીય કાર્યક્રમો ~ સમારોહમાં જેની માટે ભારત સરકારે વિશેષ આદેશ જાહેર કર્યો હોય.
      • આકાશવાણી પર જ્યારે રાષ્ટ્રપતિનો દેશજોગ સંદેશો પ્રસારિત કરવાનો હોય ત્યારે, એનો સંદેશ રજૂ કરતાં એકદમ પહેલા અને સંદેશ પૂર્ણ થયા પછી.
      • રાષ્ટ્રધ્વજને પરેડમાં લાવતી વખતે.
      • ભારતીય સેનાના રેજીમેન્ટને કોઈ નવું પ્રતીક એનાયત કરતી વખતે.
      • ભારતીય નૌ સેનામાં ધ્વજારોહણ વખતે.

    – વિદેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રોગ્રામ, સંમેલન, સમારોહ, રમત વગેરે હોય ત્યારે, ભારતને પ્રસ્તુત કરવા માટે રાષ્ટ્રગાનની ધૂન વગાડવામાં આવે છે.

    – શાળા કોલેજોમાં પણ સવારની પ્રાર્થના ~ એસેમ્બલીમાં ગાવામાં આવે છે.

    – ભારતના રાષ્ટ્રીય પ્રતીકો એવા –  રાષ્ટ્રગાન, રાષ્ટ્રધ્વજ, બંધારણના સન્માન – અપમાન અંગે અમુક કાનૂની કાયદાઓ ઘડવામાં આવેલ છે. જેમાં રાષ્ટ્રીય ગૌરવ – અપમાન નિવારણ અધિનિયમ, ૧૯૭૧ની કલમ (કાનૂની જોગવાઇ) – ૩ મુજબ : ‘રાષ્ટ્રગાનના નિયમોનું પાલન ન કરવા પર તેમજ તેનું અપમાન કરવા પર સખત સજાની જોગવાઈ કરવામાં આવેલ છે.’ અનુચ્છેદ 51 A (a) મુજબ દેશના મૂળભૂત કર્તવ્યો અંતર્ગત બંધારણનું પાલન કરવું, તેના આદર્શ – સંસ્થાઓ તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનો આદર કરવો એ ભારતના તમામ નાગરિકોની ફરજ છે.

    તો આ વાત હતી, આપણા ભારત દેશની મહિમા ગાતા એવા રાષ્ટ્રગાન અને તેની રોચક વાતો વિશે. ભારત દેશ કે જેને આપણે ભારતમાતા કહીએ છીએ, તો આપણું રાષ્ટ્રગાન એ ભારતમાતાની સ્તુતિ છે. રાષ્ટ્રગાન એ દેશનું સ્વાભિમાન, ઓળખ, હાર્દ સમાન હોય છે.

    જય હિંદ…. જય ભારત…..


    સુશ્રી વિશાખા મોઠિયાનો સંપર્ક vishakhawriter@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ્’ની ૧૫૦ વર્ષની સંગીત યાત્રા – અનેક કલાકારો દ્વારા વિવિધ શાસ્ત્રીય રાગોમાં

    આ પહેલાં રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ્’ની ૧૫૦ વર્ષની સંગીત યાત્રા – સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની ‘વંદે માતરમ્’ની વિદ્રોહ ગાથા માં આપણે સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે વંદે માતરમનો એક કાવ્યમાંથી રાષ્ટ્ર ગીત તરીકેના ઉદયની રાજકારણીય તાણાવાણામાં વણાયેલ સંગીતમય વિદોહ ગાથાની વાત કરી હતી.

    હવે આગળ…..

    સંકલનઃ અશોક વૈષ્ણવ

    રાગ કંબવતીમાં  જયપુર – અત્રૌલી ઘરાના શૈલીની સટીક રાગદારીમાં મોગુબાઈ કર્ડીકર નું ૧૯૪૭માં રજૂ થયેલું સંસ્કરણ

    ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ‘વંદે માતરમ્’નાં પહેલાં બે પદને રાષ્ટ્રગીત તરીકે સ્વીકૃત કરાયું તે પછી ઑલ ઇન્ડીયા રેડીયો (હવે આકાશવાણી) એ દિવસની શરૂઆતમાં રજૂ થતાં સિગ્નેચર ટ્યુન પછી, ૬૫ સેક્ડમાં રેકર્ડ થયેલું વંદે માતરમના બે અંતરા રજૂ કરવાનું શરૂ કર્યું.

     

    ૨૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ભારત સરકારે લીધેલ નિર્ણય અનુસાર આકાશવાણીએ વંદે માતરમના બધાં અંતરા આવરી લેતું સંસ્કરણ પંડિત ચંદ્રશેખર વાઝેના સ્વરમાં રાગ દેશમાં રજૂ કરવાનું શરૂ કર્યું છે.

    સ્વતંત્ર ભારતમાં ‘વંદે માતરમ્’  અનેક કલાકારો વિવિધ શાસ્ત્રીય રાગોમાં રજૂ કરતા રહ્યા છે,

    પંડિત ભીમસેન જોશીએ સ્વાતંત્ર્યની સુવર્ણ જયંતિના અવસરે સંસદના સેન્ટ્રલ હૉલમાં રાગ દેશમાં વંદે માતરમને રજૂ કરી સમગ્ર દેશને મંત્રમુગ્ધ કરી દીધેલ.

    સંગીતા કુટ્ટી કુલકર્ણીએ પણ રાગ દેશમાં વંદે માતરમનું સંપૂર્ણ સંસ્કરણ ગાયું છે.

    દરભંગા ઘરાનાના પંડિત પ્રેમ કુમાર મલિક દ્વારા રાગ દેશમાં –

    ભાર્ગવી વેંકટરામ રાગ દેશમાં મા ભારતીની સ્તુતિ સ્વરૂપે વંદે માતરમ રજૂ કરે છે –

    સ્વાતંત્ર્યના ૭૫ વર્ષ્હની ઉજવણી સમયે વીણા સહસ્ત્રબુદ્ધે એ રાગ કાફીમાં કરેલી રજૂઆત –

    ભારતીય શાસ્ત્રીય ગાયન અને રૉક સંગીતનાં ફ્યુઝન સ્વરૂપે –

    વિવિધ નૃત્યકારો અને નૃત્ય અકાદમીઓએ પણ વંદે માતરમને શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપે રજૂ કરેલ છે. અહીં એકાદ ઉદાહરણો લીધેલ છે

    ડૉ. અંજના ઝા – કથક નૃત્ય

    પદ્મરંગ નૃત્ય અકાદમી દ્વારા ભરત નાટ્યમ નૃત્ય

    ચાની જણીતી બ્રાન્ડ ‘તાજ’એ ઉસ્તાદ અમજદ અલી ખાન અને તેમના પુત્રો અય્યાન અલી ખાન અને અમ્માન અલી ખાન પાસે સંતુર પર, સ્વાતંત્ર્યનો સ્વાદ એ ટૅગ લાઈન સાથે, વંદે માતરમને રજૂ કરેલ

    નેટ પર વધારે શોધખોળ કરતાં વંદે માતરમનાં શાસ્ત્રીય રાગોમાં થયેલ બીજાં કેટલાય સંસ્કરણો મળી શકશે. આપણે તો આટલાં આચમનથી વિરામ લઈએ.

    સ્વ્હાભાવિક રીતે વંદે માતરમને ફિલ્મોમાં શી રીતે રજૂ કરાયું હશે એ જાણવાની હવે ઉત્સુકતા થાય.

    તેની વાત હવે પછીના અંકમાં …..


    સંદર્ભ સ્ત્રોતઃ

    150 Years Of Vande Mataram’s Musical Odyssey: The Melody And Memory Of A Nation – by K Balakumar

    VandeMataram.com

    The Song of a Nation’s Spirit

    Vande Mataram: From Banned Protest Song to National Song, including the original Hindu ode to Ma Durga.

    તસવીર નેટ પરથી, તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી, તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

  • ૧૫ ઓગસ્ટ : મુક્તિ અને સ્વતંત્રતા સમજાવતો દિવસ !

    હરેશ ધોળકિયા

    મોટા ભાગે જેને “મોટા” દિવસો મનાય છે, તે બધા કોઈ એક વ્યક્તિ કે પ્રસંગને જ અનુલક્ષીને હોય છે. દાખલા તરીકે “ રામ નવમી.” તો રામનો જન્મ દિવસ. “બુદ્ધ પૂર્ણિમા” તો બુદ્ધનો દિવસ વગેરે. તે દિવસે કેવળ એક જ બાબતનો ઉત્સવ મનાય છે.

    પણ પંદરમી ઓગસ્ટ એક એવો દિવસ છે જે અનેક બાબતો સાથે સંકળાયેલ છે. મોટા ભાગના લોકો કદાચ તેને કેવળ “ભારતના સ્વાતંત્ર્ય દિવસ” તરીકે જ ઓળખે છે, પણ કેવળ એ જ નથી. તે જ દિવસે સમાનન્‍્તરે બીજી ઘટનાઓ પણ બની છે, પણ તે આ સ્વાતંત્ર્યની ઘટનામાં દબાઈ ગઈ છે. પણ જયારે આપણે આ દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ, ત્યારે બાકીની ઘટનાઓને પણ યાદ કરીએ.

    હા, આપણો સ્વાતંત્ર્ય દિવસ અત્યંત મહત્વનો છે. બસો વર્ષની ગુલામી પછી મુક્તિ મળ્યાનો દિવસ છે તે. ૧૮૫૭થી ૧૯૪૭ – નેવું વર્ષ હજારો-લાખો લોકોએ અંગ્રેજ સરકાર સામે લડાઈ કરી, ક્યારેક કોઈએ શહીદી વહોરી, પછી આ સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે. આ નેવું વર્ષમાં પુષ્કળ મહાન લોકો આ દેશની ધરતી પર અવતર્યા. ૧૮૫૭ના નાના સાહેબ કે તાત્ય્યાતોપે કે લક્ષ્મીબાઈથી લઇ ૧૮૮૫મા શરુ થયેલ પુન: લડતના સુરેનદ્રનાથ બેનરજી કે રાજા રામમોહન રાયથી લઇ છેક ગાંધીજી, સુભાષ, સરદાર, નેહરુ, ભગતસિંહ જેવા એક એકથી ચડિયાતા લોકો આ દેશે આપ્યા જેનું પરિણામ આજના દિવસે આપણને સ્વતંત્રતા મળી. અને આ સમય દરમ્યાન માત્ર રાજકીય ક્ષેત્રે જ શ્રેષ્ઠ લોકો નથી આપ્યા, બધા જ ક્ષેત્રોમાં એક એકથી શ્રેષ્ઠ લોકો આવતા રહ્યા અને દેશનું ગૌરવ વધારતા રહ્યા.

    સ્વતંત્રતા માત્ર રાજકીય જ નથી મળી, હજારો વર્ષની માનસિક ગુલામીમાં પણ આ દિવસે ગાબડા પડ્યા હતાં. ખૂણામાં બેઠેલ તદન ગરીબ મનુષ્યે પણ આ દિવસે હાશકારાનો શ્વાસ લીધો હતો અને પ્રથમ વાર ઉજ્જવળ ભાવિનું સ્વપ્ન જોવાનું શરુ કર્યું હતું. ૧૯૪૭ના આ દિવસે ભારતના તેત્રીસ કરોડ લોકોએ શું અનુભૂતિ કરી હશે તેની કલ્પના પણ જો કરીએ, તો આભા જ થઇ જવાય. અને તે કલ્પના કરવાની આજે આપણામાં તાકાત પણ નથી, ( ગુગલ તે અનુભૂતિ ન કરાવી શકે !) કારણ કે આજે તો આપણને આ સ્વતંત્રતા “એ તો એમ જ હોય” ( ટેકન ફોર ગ્રાન્ટેડ) લાગે છે. તેની પાછળ રહેલ બલિદાન, ત્યાગ,  સમર્પણ વગેરેની કલ્પના પણ ન કરી શકીએ. આમ પણ જે સરળતાથી મળી જાય તેની ખાસ કિમત ન સમજાય.

    આજે આ દિવસ આપણા માટે “ આવો” જ છે. ઉજવણી છે, પણ કદર નથી !

    પણ, આગળ કહ્યું તેમ, આ દિવસ માત્ર સ્વતંત્રતા દિવસ જ નથી. આજે બીજા બે-ત્રણ બનાવો પણ બન્યા હતા, જે પણ આ સ્વતંત્રતા સાથે સંકળાયેલા હતા.

    ૧૯૪૨માં “હિન્દ છોડો” ચળવળ નિમિતે બધા નેતાઓને જેલ મળી હતી. તેમાં ગાંધીજીને પણ પુનાના આગાખાન મહેલમાં કેદ મળી હતી. તેમના સાથે જે સાથીઓ હતા, તેમાં તેમના મંત્રી મહાદેવભાઈ દેસાઈ પણ હતા. જેલમાં આવ્યા પછી એક જ અઠવાડીયા પછી આ મહેલમાં મહાદેવભાઈ દેસાઈનું મ્રત્યુ થયું હતું. ( ૧૫ ઓગસ્ટ, ૧૯૪૨) મહાદેવભાઈ દેસાઈ વિષે લખવું હોય તો હજારો પાનાં ઓછા પડે. ગાંધીજીના હનુમાન જ હતા. ગાંધીજીના શબ્દોમાં “તેમના ગળે લટકીને નિરાંતે સુઈ શકાય” એવા. ગાંધીજી જેવા કઠોર તપસ્વી જેના પર આંધળો વિશ્વાસ મૂકી શકે તે કેવા હશે ! તેમની ડાયરીઓ વાંચીએ તો તેમની મહાનતાનો ખ્યાલ આવે.

    તો આજના જ દિવસે, ૧૮૭૫માં, ભારતના મહાન ક્રાંતિકારી અને તેનાથી પણ મહાન યોગી એવા મહર્ષિ શ્રી અરવિંદ જન્મ્યા હતા. અત્યંત તેજસ્વી પ્રજ્ઞા, અદભુત કવિ અને વિચારક, ગાંધી પહેલાના સમયના તિલક જેવા જ ક્રાંતિકારી, અને સમય જતા પ્રાચીન ઋષિ પતંજલિથી પણ મહાન યોગી શ્રી અરવિંદ હતા. રામાયણ અને મહાભારત પછી કોઈ ત્રીજું મહાકાવ્ય લખાયું હોય તો તે શ્રી અરવિંદનું મહાકાવ્ય “ સાવિત્રી” છે. અંગ્રેજીમાં લગભગ ૨૩,૦૦૦ પંક્તિનું આ મહાકાવ્ય વાંચીને જગતના વિચારકો ચકિત થયા છે અને આજે પણ થાય છે. તેમના પોન્ડીચેરીમાં આવેલ સાધના સ્થળ “ શ્રી અરવિંદ આશ્રમ”માં આજે પણ જઈએ તો એક કલ્પનાતીત ગાઢ શાંતિનો અનુભવ થાય છે.

    તેમણે રચેલું “ ઓરોવીલા” નગર જગતનું એક માત્ર વૈશ્વિક નગર છે. સદ્‍ભાગી હોઈએ તો તેમના પુસ્તક “ લાઈફ ડીવાઇન “ કે “ એસેઝ ઓન ગીતા” વાંચવાનો પરમ આનંદ મળે. તેમણે ભલે થોડા જ વર્ષ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો, પણ તે સમય અત્યંત રોમાંચક હતો. ત્યારના હજારો યુવાનો તેમના પાછળ પાગલ હતા. તેમનાથી અંગ્રેજ સરકાર ભયંકર ડરતી હતી. પળે પળ જેલમાં પુરવા થનગનતી હતી. અને છતાં અનેક અંગ્રેજો તેમનું અંગ્રેજી સાંભળી લઘુતાગ્રંથી અનુભવતા હતા કે આવું અંગ્રેજી તો તેમને પણ નહોતું આવડતું. અલીપોરની જેલમાં તેમને ભગવાન કૃષ્ણના દર્શન થયા તે બાબતે તેમણે ઉતરપાડામાં જે પ્રવચન આપ્યું હતું, તે આજે પણ વાંચીએ તો ગળગળા થઇ જવાય. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અને ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિના ઉતુંગ શિખર જેવા વ્યક્તિ એટલે આ શ્રી અરવિંદ. ૧૫મી ઓગસ્ટ તેમને મેળવીને ધન્‍ય થઇ છે એમ કહી શકાય.

    અને ૧૮૮૬ની પંદરમી ઓગસ્ટ જયારે પૂરી થતી હતી, ત્યારે, લગભગ રાત્રે એક વાગ્યા આસપાસ ભારતના જ નહિ, પણ જગતના એક કલ્પનાતીત અદભુત મહાપુરુષે છેલ્લા શ્વાસ છોડયા અને અનંતમાં ભળી ગયા. એ હતા રામકૃષ્ણ પરમહંસ. એક ધર્મની અનુભૂતિ કરનારા મહાન લોકો હજારો થયા છે, પણ મહત્વના બધા જ ધર્મોનો સાક્ષાત્કાર કરનાર કોઈ હોય તો તે કેવળ આ રામકૃષ્ણ પરમહંસ જ છે. હિંદુ, ઇસ્લામ, ખ્રિસ્તી, કૃષ્ણ, રામ, અદ્વૈત – બધા જ ધર્મો, પંથોના સત્યની તેમણે અનુભૂતિ કરી હતી. જગતના ઈતિહાસમાં આવા અનુભૂતિ કરનાર કેવળ તેઓ એક જ છે. “બધા ધર્મોનું સત્ય એક જ છે” એ તેઓ સ્વ-અનુભૂતિથી કહી શકતા હતા. અને એટલે તેમણે આ સંદેશ પ્રસરાવવા પોતા જેવા જ અદભુત અને પ્રખર શિષ્ય સ્વામી વિવેકાનંદ જગતને આપ્યા. સ્વામીજીએ અમેરિકા સહીત સમગ્ર પશ્ચિમને અદ્દેતના સંદેશથી જાગૃત કર્યું.

    ભૌતિકવાદથી ખળભળતાં અને તરફડતાં અમેરિકાને સ્વામીજીના સંદેશાથી અચાનક ઝાટકો લાગ્યો અને જાગી ઉઠ્યું કે ઓહો ! સ્થૂળ જગતથી પણ એક ઉચ્ચ જગત છે. અમેરિકામાં સ્વતંત્રતાની અને ઔદ્યોગિક ક્રાંતિ પછી “ચેતનાની ક્રાંતિ” વિવેકાનંદે કરી. પણ તેમને આ શક્તિ તેમના ગુરુએ આપી હતી જેમણે ૧૫મી ઓગસ્ટની પૂર્ણાહુતિની થોડી જ ક્ષણો પછી વિદાય લીધી હતી. એટલે આ દિવસ આ કારણે પણ પવિત્ર છે.

    આપણે તો કેવળ રાજકીય સ્વતંત્રતા ઉજવીએ છીએ, પણ બાકીના લોકોના કારણે આપણી ચૈતસિક સ્વતંત્રતા સ્વચ્છ રહે છે. તેમના કારણે આપણને “ સાચું સ્વરાજ્ય” મળે છે. આ દિવસે આપણને રાજકીય સ્વતંત્રતા આપી અને આ દિવસના આ મહાપુરુષોએ આપણને “મુક્તિ”ની સમજ આપી છે. બંને જરૂરી છે. મુક્તિ જીવશે તો જ રાજકીય સ્વતંત્રતા સમજાશે.

    આ બધાને આ પરમ પવિત્ર દિવસે વંદન કરીએ.


    ( કચ્છમિત્ર : તા: ૧૫-૮-૨૬ : શનિવાર)


    હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ  રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • સાચું નમ્યાં આજે ફરી

    દેવિકા રાહુલ ધ્રુવ

    ‘આઝાદી’ શબ્દની સાથે જ ભારત સ્વતંત્ર થયા પહેલાંનાં ઈતિહાસનાં વાંચેલાં પાનાંઓ નજર સામે ફરફરે છે તો વડિલોના મુખેથી સાંભળેલ કારમા દૄશ્યો પણ ખડાં થાય છે. આઝાદી પછીના ચઢાવ ઉતરાવના તો આપણે પણ સાક્ષી છીએ. એ વિશે ઘણું બધું કહી શકાય. પણ ગૌરવની વાત તો એ છે કે વિશ્વભરમાં, વિવિધ ક્ષેત્રે, વિવિધ રીતે પ્રગતિ કરીને ભારતીયોએ દેશનું નામ રોશન કર્યું છે. અને એ જ સાચો ઉત્સવ છે.

    પ્લસ અને માઈનસ તો બધે જ છે, બધામાં જ છે. આમ છતાં આ એક હકીકત છે કે, વિદેશમાંરહેતા અમારા જેવા મૂળ ભારતીયો,સમયનેઅભાવેભલેપીઝા, પીટાકેનાનથીટેવાયાં હોઈએ,ભલે ‘ જેવોદેશતેવોવેશ ’ એન્યાયેપહેરવેશમાંફેરફારકર્યોહોય, પણપ્રત્યેક ભારતીય વ્યક્તિ વતનનીપ્યાસીછે.  પરદેશમાં પણ આજની ઊગતી પેઢીની સાથે રહીને ભારતનાં દરેકતહેવારોમસ્તીથીઉજવેછે. હિંદુસ્તાનનીવાનગીઓમનભરીનેમાણેછે. હા, નવોસમયછે, નવીપાંખછે, નવાઉમંગોછે, નવોમલકાટછે. એટલેરીતોપણ નવી છે, પણકર્મભૂમિનાઆદરસાથેપણદિલતોમાતૃભૂમિને જ નમે છે.

    આજે જ્યારે ઠેર ઠેર આઝાદીની ઉજવણી થઈ રહી છે ત્યારે આ ‘આઝાદી’ની પહેલાં અને પછી પણ કુરબાની આપેલ વીરોને તો કેમ ભૂલાય?

    એ તમામ શહીદોની યાદમાં પ્રસ્તુત છેઃ

    ‘ મેરે વતનકે લોગ’ ના નારા, ઊઠ્યા આજે ફરી,
    કુરબાની ને શહીદીના, સૂરો ગુંજ્યા આજે ફરી.

    રુધિરથી લથબથ થતી લાશો નજર સામે ફરી,
    કંકુ લુછાતાં, હાથનાં કંકણ તૂટ્યાં આજે ફરી.

    પોતા થકી ગોળી ઝીલી, બીડેલ લોચનની છબી
    એ યાદના પડદા હલી, ભીંતે ધ્રૂજ્યા આજે ફરી.

    વર્ષો જૂની એ વીરતાને પૂછતી રંગીન ધજા,
    ક્યાં કોણ છે આઝાદ? સો પ્રશ્નો ફૂટ્યા આજે ફરી.

    રાતો ગઈ, વાતો રહી, જાગો નમો સૌ સાથમાં,
    ઝંડા થકી સંદેશ લઈ, સાચું નમ્યાં આજે ફરી.

    — આઝાદીના આ પર્વના ગર્વ સાથે સૌ દેશપ્રેમીઓને

    જયહિંદ.


    Devika Dhruva.
    ddhruva1948@yahoo.com

  • સંસ્પર્શ-૨૬

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    આજે વાત કરીશું “ લવલી પાન હાઉસ” નવલકથાની. હા,આ ધ્રુવદાદાની જ નવલકથા છે. નામ સાંભળીને વિચારમાં પડી ગયા ને? તો આવો વાત કરીએ આ નવલકથાનાં પાત્રોની, તેમાં વર્ણવેલા લોહીનાં નહીં, પણ લાગણીથી તરબતર માનવસંબંધોની. ભારતનાં વિવિધ જાતિ-પાંતિનાં એકમેક સાથે હળીમળીને રહેતા માનવોની. ધ્રુવદાદાની કલમ હોય એટલે કંઈક નવું ,કંઈક અલગ અને વિશેષ તો હોય જ. આ નવલકથામાં તેમણે કુદરત, પ્રકૃતિ, દરિયો કે જંગલની વાત નથી કરી પણ વાત કરી છે રેલવે સ્ટેશન પર સામાન ઊંચકવાનું કામ કરનાર કુલી સ્ત્રીઓની, તેમના બાળકોની, લવલી પાન હાઉસ પર આવતા અનેક જુદા-જુદા માણસોની અને તેમના સંબંધોની ,તેમના પહેરવેશ, બોલી,માન્યતા અને વાતચીતની લાક્ષણિકતાઓની.

    ટ્રેઈનની ‘છવ્વીસબાણુ’ વેગનમાંથી એક નાનું થોડા સમય પહેલાં જન્મેલું બાળક મળે છે. પરાણે વહાલું લાગે તેવું ગોરું, રૂપાળું બાળક જોઈ સ્ટેશન પર સામાન ઊંચકવાનું કામ કરતી કૂલી સ્ત્રીઓ, તેને પોલીસને કે અનાથાશ્રમમાં આપવાની ના પાડે છે. બધાં સાથે મળીને તેને ઉછેરવાની જવાબદારી લે છે. જન્મનો દાખલો લેવા, ચિઠ્ઠી ઉપાડી. જેનું નામ નીકળ્યું તે રેવા ચોપડે બની એની મા. રંગે ગોરો હોવાથી લાડકું નામ ગોરીયો અને ટ્રેનની યાત્રા કરતો મળ્યો એટલે ભણેલા સાહેબે નામ રાખ્યું યાત્રિક. “કોઈનો નહીં તે સૌનો” એમ ગોરીયો ટ્રેનની વેગનને રાત્રે પોતાની બેડરૂમ બનાવી, બધી મજૂર બહેનોનાં છોકરાઓ સાથે રમીને સૌનું આપેલ ખાઈને, સૌ માનો અને મિત્રોનો સ્વાર્થવિહીન પ્રેમ પામતો મોટો થાય છે.

    કાળિયો, ટીકલો, વામન, સત્તુ, ભીખમંગી જેવા સ્ટેશન પર રખડતાં, કૂલી સ્ત્રીઓનાં છોકરાઓનાં જેવાં માત્ર નામ જ નહીં, પણ તેમાંના જ એક હોય તેમ તેમની અંદર જાણે હૂબહૂ ઉતરીને આલેખી હોય તેવી તેમની મનસ્થિતિ અને વિચારોનું અદ્ભુત વર્ણન ધ્રુવદાદાએ કર્યું છે. સાથેસાથે પાત્રોનાં વિચારો દ્વારા વ્યક્ત થયેલી દાદાની જીવનની ફિલસુફી, અગમ્ય વિચારધારાનાં છાંટણાં વાંચીને તો આપણે પણ વિચારોની હારમાળામાં ગરકાવ થઈ જઈએ.

    “ કાળ કાગળિયાં ખાય, દેહનેય ખાય, મનને થોડો ખાય હકે?”

    પ્રયત્નપૂર્વક પણ ન સમજાતું હોય તો એ કે માણસ પૃથ્વી પર રહે ત્યાં સુધી તેને સમયખંડોમાં વહેંચાયેલા રહેવું પડે તેવી રચના શા માટે થઈ છે! શા કાજે તેના જન્મ ,ઉછેર, ભણતર, ગણતર,સફળતા,નિષ્ફળતા,ઈચ્છા,સ્વપ્નો,આનંદ,પીડા અને સ્મૃતિ બધુંય સમય સાથે આવે કે જાય છે. સમયના બંધને ભેદી શકાય તેવી કોઈ વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી?”

    આવા તો અનેક વિચારો નવલકથામાં આપણને પણ એ દિશામાં વિચારતાં કરી દે તેવા સરસ રીતે આલેખાયા છે.

    સ્ટેશન પર વેગનને પોતાનું ઘર માની તેમાં આનંદ સાથે જીવતાં ગોરીયાનું શબ્દચિત્ર,તેમજ ગોરીયાને લવલી પાન હાઉસનાં માલિક મુસલમાન વલીભાઈ પોતાનાં ઘરમાં જ દીકરાની જેમ રાખે છે તે, તેમજ વલીભાઈની પત્ની ગોરીયાને શાકાહારી ભોજન જ ખવડાવી તેને અભડાવતી નથી જેવી અનેક ઉમદા વાતો દાદાએ નવલકથામાં સરસ રીતે રજૂ કરી છે. અને તે યાદ અપાવે ફિલ્મ ‘ધૂલ કા ફૂલ ‘ગીતની પંક્તિઓ.

    “તું હિન્દુ બનેગા ,ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ હૈ ઇન્સાન બનેગા”
    “માલિકને હર ઇન્સાન કો ઇન્સાન બનાયા,હમને ઉસે હિન્દુ યા મુસલમાન બનાયા”

    તે ગરીબોની ઝૂંપડીમાં ડોકાતાં હૂબહૂ શબ્દચિત્રોથી યાદ આવી ગઈ, ઝોયા અખ્તરની ફિલ્મ “ગલી બોય” જેમાં આખેઆખી મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટીની જિંદગી દર્શાવી હતી.

    ‘લવલી પાન હાઉસ’ પર પિક્ચર બની શકે એટલાં સુંદર સંવાદો, વિચારો અને શબ્દચિત્રો આ નવલકથામાં છે. બધું જ સાવ કાલ્પનિક, છતાં સાવ સાચું, ગરીબાઈમાં પણ આદર્શ સંસ્કારિતાનું દર્શન, માનવમનની ઊંડાઈનું સ્વાભાવિક દર્શન તેમજ જાતિ-પાંતિ, ઘર્મ-વર્ણ વગરનાં સ્વાર્થવિહીન માનવ સંબંધોની, વાહ !પોકારી જાવ તેવી વાતોનું દર્શન. આ નવલકથામાં એક સાથે નાયક ગોરીયા- યાત્રિકની ફિલ્મમાં ફ્લેશબેક આવે એમ બે વાર્તા છે. એક વાત છે એની આગલી જિંદગીની અને બીજી એની પાછલી જિંદગીની.!!! આને માટે નવલકથા વાંચો તો જ સમજાય ……

    આ સાથે દાદાની અલ્લાહ સાથેની વાતચીત કરતા હોય તેવી ગઝલ…. નવલકથામાં મુસ્લિમ વલીભાઈ મુશાયરામાં જાય અને ગોરીયો રાબિયા અને તેની અમ્મી સાથે મોટો થાય એટલે પણ દાદાની ગઝલ જ મૂકવાનું મન થાય !

    “મૂકી છે જાત મેં આખી લે ચરાગી કબૂલ કર,
    મને ખલાસ કર અને તું ખલ્લાસી કબૂલ કર.

    કશાથી શોધ જાતની કે તમારી થતી નથી, 
    જો તું હયાત હો તો મારી હયાતી કબૂલ કર.

    અહીં એ કહી ગયા હતા તે કશું સાંભળ્યું નહીં,
    અમે સતત કરી છે ફિર્કા -ખિલાફી કબૂલ કર.

    ના તું સાકી મને એ સજ્જનોનાં ઘર બતાવ મા, 
    ભરી દે જામ ને આ જાત શરાબી કબૂલ કર.

    અહીં ને આ પળે તારા સમીપે જઈ ઊભો રહું,
    જરા વિચાર મારી ઈશ્ક -મિજાજી કબૂલ કર.

    અને શું હું જ તને રાન રાન શોધતો ફરું,
    લે ચાલ ઘેર ને મારી ચપાટી કબૂલ કર.’

    ચરાગી- (પીરની દરગાહ પર ફાતિયો કરાવતી વખતે દીવા તળે મુકાતી રોકડ.)


    સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ – ચિત્ર દ્વારા સ્વકથન

    બીરેન કોઠારી

    ઈસપની જાણીતી બોધકથા છે. પિતાપુત્ર પોતાના ગધેડાને લઈને પરગામ જવા નીકળે છે. બન્ને ચાલતા હોય છે, સાથે ગધેડો પણ. રસ્તામાં એક ગામ આવે છે. ગામના લોકો આ જોઈને હાંસી ઉડાવતા કહે છે, ‘ખરા મૂરખ છે! છતે ગધેડે બેય ચાલતા જાય છે.’ ટીકાથી વ્યથિત થયેલા પિતાપુત્ર પૈકી પિતા ગધેડા પર બેસે છે, પુત્ર તેમની સાથે ચાલે છે. રસ્તે કોક કહે છે, ‘ખરો બાપ છે આ તો! બિચારા નાજુક છોકરાને ચલાવે છે, અને પોતે ગધેડા પર ચડી બેઠો છે!’ વ્યથિત થયેલા પિતા નીચે ઉતરી જાય છે, અને પુત્રને ગધેડા પર બેસાડે છે. પોતે સાથે ચાલે છે. વળી બીજું કોક મળે છે એ કહે છે, ‘છોકરો કેવો બેશરમ છે! ઘરડા બાપને ચલાવે છે અને પોતે મોજથી ગધેડા પર ગોઠવાઈ ગયો છે.’ હવે શું કરવું એ બેયને સમજાતું નથી. આખરે છોકરો પણ નીચે ઉતરી જાય છે. પિતાપુત્ર મળીને ગધેડાને ઊંચકી લે છે. પણ એક નદી પાર કરવા જતાં ગધેડો પડી જાય છે, ડૂબીને મરણ પામે છે. ત્યારે બાપ દીકરાને કહે છે, ‘લોકોનું કહ્યું ન માન્યું હોત તો?’ આ કથા પાઠાંતરે મોટા ભાગના લોકોને યાદ હશે.

    ચિત્રકાર ભૂપેન ખખ્ખરે આ બોધકથાનો ઉપયોગ પોતાના એક ચિત્રમાં કરીને પોતાના એક મહત્ત્વના વલણની ઘોષણા કરી. આજે ‘સમલૈંગિક ચિત્રકાર’ તરીકે ઓળખાતા ભૂપેનની એ ઓળખ હજી જાહેર થઈ નહોતી. અંગત વર્તુળમાં સૌ એ જાણતા હતા. ખુદ ભૂપેનને એ જાહેર કરતાં સંકોચ થતો હતો. પણ 1979માં તે ઈન્‍ગ્લેન્‍ડના પ્રવાસે ગયા અને ત્યાં રહ્યા ત્યારે તેમણે જોયું કે ત્યાં આ બાબતનો કોઈ છોછ નથી. બલ્કે ત્યાં સમલૈંગિકો મુક્ત રીતે હરેફરે છે, સાથે રહે છે, અને ઘણે અંશે સમાજમાં સ્વીકાર્ય છે. આ જોયા પછી તેમનામાં હિંમતનો સંચાર થયો. ઈન્ગ્લેન્‍ડથી પાછા આવ્યા પછી થોડા સમયમાં તેમનાં માતા મહાલક્ષ્મીબેનનું અવસાન થયું અને ભૂપેન એકલા પડ્યા. 1981માં તેમણે આ ચિત્ર બનાવ્યું, જેનું શિર્ષક છે ‘You can’t please all/તમે સહુ કોઈને રાજી રાખી શકો નહીં.’ ભૂપેનનું આ ચિત્ર આત્મકથાનક કહી શકાય. ચિત્રમાં તેમણે બાપદીકરો અને ગધેડાના પાત્રને દર્શાવ્યું છે, પણ એમની આસપાસ જનજીવન દર્શાવ્યું છે, જે પોતાની રીતે ચાલતું રહે છે. કોઈને બાપદીકરા તરફ જોવાની ફુરસદ નથી.

    કોઈક ઓટલે બેઠેલું છે, તો કોક મકાનની ઓસરીમાં ખાટલો ઢાળીને. કોઈક આંબે આવેલી કેરીઓ વેડી રહ્યું છે. કોઈક ઘરમાં સદ્‍ગતની છબિ પર હાર ચડાવીને કદાચ પાઠ થઈ રહ્યા છે. કોઈક કારનું બોનેટ ખોલીને એમાં માથું નાખીને ઊભો છે, તો કોઈક સાયકલવાળાની દુકાને બેસીને છાપું વાંચે છે. દૂર ક્યાંક મજૂરો મકાનના બાંધકામમાં વ્યસ્ત છે. ઘરમાં મહિલાઓ અને પુરુષો અલગ અલગ બેસીને ગપાટા હાંકી રહ્યા છે.

    પોતાના મકાનની ઓસરીમાં ઊભેલો એક પુરુષ આ તમામ દૃશ્યોને સાક્ષીભાવે નિહાળી રહ્યો છે. એ પુરુષ કદાચ સૂઈને જાગ્યો છે. તે સંપૂર્ણ નગ્નાવસ્થામાં છે. તેના ચહેરા પર કોઈ વિશેષ ભાવ નથી. કદાચ બાપદીકરો અને ગધેડાવાળો ઘટનાક્રમ જોઈને તે વિચારી રહ્યો છે, ‘તમે સહુ કોઈને રાજી રાખી શકો નહીં.’ પૂર્ણ કદની આ માનવાકૃતિની સરખામણીએ સામે શેરીમાં દેખાતી માનવાકૃતિઓનું કદ ઘણું નાનું છે. શેરીનાં મકાનો અને આંબાનું ઝાડ બિલકુલ લઘુચિત્ર શૈલીમાં ચીતરેલા જણાય છે. મુખ્ય માનવાકૃતિની એનેટોમી પ્રમાણમાપ વિનાની છે, પણ ચિત્રનો સંદેશ એકદમ સ્પષ્ટ છે. આ આકૃતિનો ચહેરો ખુદ ભૂપેન ખખ્ખરનો હોય એમ જણાય છે. ઓસરીમાં વાળીને ઉપર ચડાવેલી ચટાઈની ભાત સુદ્ધાં ચીતરવામાં આવી છે. એ જ રીતે સૂકવવા મૂકેલા ટુવાલના રુંછાં પણ દર્શાવવામાં આવ્યા છે.

    આજે આટલાં વરસે પણ આ ચિત્ર તેમની ઓળખ સમાન બની રહ્યું છે. ૨૦૧૬માં લંડનની ખ્યાતનામ ટેટ ગેલરીમાં ભૂપેનનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું એનું નામ જ You can’t please allહતું, તેમજ એ નિમિત્તે તેમના દ્વારા પ્રકાશિત પુસ્તકનું નામ પણ You can’t please all છે.

    ચિત્રમાં વપરાયેલા રંગો ભૂપેનની શૈલીની લાક્ષણિક ઓળખ સમા છે. આ ચિત્રને બરાબર માણવા માટે તેને મેગ્નિફાય કરીને તેમાં ચીતરાયેલી વિવિધ ઘટનાઓ જોવા જેવી છે.

    (ચિત્ર અહીં કેવળ આસ્વાદ પૂરતું મૂક્યું છે. તેના હક સંબંધિત વ્યક્તિના છે.)

    [ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી  સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

     

  • સંસ્કૃત – શ્લોક/સુભાષિતો : સફળ થવા માટે કેટલીક પાયાની વાતો

     

    उद्यमस्साहसं धैर्यम्, बुद्धिः शक्तिः पराक्रमः
    षडेते यत्र वर्तन्ते, तत्र देवः सहायकृत् ॥

    સમાસ વિભાજન અને  શબ્દશ: ગુજરાતી અર્થ:

    उद्यमस्साहसं=उद्यम+साहसं, उद्यम=મહેનત,પરિશ્રમसाहसं=હિંમતधैर्यम्=ધીરજबुद्धिः=બુદ્ધિ,અક્કલ,   शक्तिः= તાકાત,શક્તિपराक्रमः= શૌર્ય,બહાદૂરી
     
    षडेते=षट्+एते= षट्=છ, एते=આ છએ (ગુણો)यत्र=જ્યાંवर्तन्ते= વર્તાય છે,જણાય છે,  तत्र= ત્યાં,  देवः=ઈશ્વર,   सहायकृत्सहाय+कृत्सहाय=મદદ,સહાય,कृत्= કરે છે.

     

    શ્લોકનું ગુજરાતી  ભાષાંતરઃ

    પરિશ્રમ,હિંમત,ધૈર્ય,બુદ્ધિ,શકિત,પરાક્રમ-આ છ ગુણો જેનામાં દેખાય છે; તેને ઇશ્વર પણ મદદ કરે છે.

    વિચારવિસ્તારઃ

    આ સુભાષિતમાં મનુષ્યમાં કયા કયા ગુણો હોય તો ઈશ્વર સહાય કરે છે તે વાત જણાવી છે. દરેક જણે સફળ થવા માટે કેટલીક પાયાની વાતો જાણવા, સમજવા  અને જીવનમાં ઉતારવી જરૂરી છે.
    દા.ત.મહેનત કરવી જોઈએ, 
     
    હિંમતપૂર્વક આગળ વધવું જોઈએ, 
     
    ધીરજપૂર્વક કામ કરવું જોઈએ. 
     
    બુદ્ધિપૂર્વક વિચારી કાર્ય કરવું જોઈએ. 
     
    પોતાની શક્તિને યોગ્ય રીતે કામે લગાડવી જરૂરી છે, અને છેલ્લે,
    વીરતા દાખવવી જોઈએ. 
     
    કોઈપણ કામ આ ગુણોને લક્ષમાં રાખીને કરવામાં આવે તો જરૂરથી ઇશ્વર, કહો કે નસીબ પણ સહાયભૂત થાય છે.

    Sanskrit shlok in English script:

    Udyamassahasyam dhairyam buddhihi shaktihi paraakramah
    Shadete yatra vartante tatra deva sahaayakruta.

    Word to word meaning in English:

    Udyamaha+saahasam, udyamaha= efforts, saahasam= courage, Dhairyam= patience, budhdhihi= intelligence, shaktihi= strength,  Paraakramah= courage, Shadete=Shat+ete, Shat=six, ete= these qualities

    Yatra=where, Vartante=exist, Tatra=there, Deva=GodSahaayakruta=sahaaya+krutaa= Sahaya=Helpful, kruta=provides

    Translation in English:

    To achieve something, six qualities require.

    1. Efforts 2. Courage 3. Patience  4. Intelligence 5. Strength 6. Boldness, Confidence.

    If these six qualities exist in a person, even the God Almighty renders assistance to him.


    Devika Dhruva.
    ddhruva1948@yahoo.com

  • પતંજલિ યોગસૂત્ર : એક આચમન – ચિત્તવૃત્તિ

    દિ નેશ લ. માંકડ

    સામાન્ય રીતે આપણે સહુ  યોગનો અર્થ આસનો અને પ્રાણાયામ એટલો જ કરીએ છીએ પરંતું યોગ એટલે તો  युज्यते अनेना इति योगः –‘ યોગ એટલે જે જોડે. ‘કોની સાથે જોડાવાનું ? માણસ એ  ઈશ્વરનું સમગ્ર પ્રાણિસૃષ્ટિમાં શ્રેષ્ઠ સર્જન છે.અહીં જોડાવાની વાત ચૈતન્ય સાથે જોડાવાની વાત છે. ઉપનિષદ તો એમ કહે છે  ‘ अहं ब्रह्मास्मि –‘  હું પોતે જ બ્રહ્મ { ઈશ્વર } છું.’ પણ આપણે -માણસ જાત આપણું મૂલ્ય ઓછું આંકીએ છીએ અને રૂઢિગત જીવ્યા કરીએ છીએ..એવાં એવાં અનેક ઉદાહરણો મળી આવે છે  જેમણે ખુબ ઉચ્ચ કોટિની આધ્યાત્મિકતા  પ્રાપ્ત કરી હોય અને ઈશ્વર સન્મુખ પહોંચ્યા હોય. યોગ એનું એક ઉત્તમ સાધન છે.

    હજારો વર્ષ પહેલાંથી યોગમય જીવન એ માનવજીવનનો આદર્શ રહ્યો છે.વેદ,ઉપનિષદો ,શ્રીમદ ભગવદગીતા અને બીજા અનેક ગ્રંથોએ યોગ વિચાર આપ્યો છે.શ્રી કૃષ્ણએ ગીતાજીમાં  દરેક અધ્યાયમાં યોગ સંદેશ આપ્યો છે .’ योग: कर्मसु कौशलम् ‘ અને “समत्वं योग उच्यते” જેવાં શ્લોકમાં અનેક  યોગદૃષ્ટિ આપી છે.

    કથોપનિષદમાં યોગની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે ‘તામ યોગમિતિ મન્યન્તે સ્થિરાનિમિન્દ્રિય ધારનામ.’ ભાવાર્થ – યોગ એટલે ઇન્દ્રિયોનું  બહારથી આત્મા તરફ લઈ જવું.

    છ  ભાગમાં લખાયેલા પ્રાચીન ગ્રંથ યોગ વસિષ્ઠના છઠ્ઠા ભાગમાં યોગની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે ‘મનહ પ્રશમનાહ ઉપાયાહ યોગ ઇત્યાનિદિયતે’. ભાવાર્થ -મનને સમજીને આવડતપૂર્વક શાંત કરે અને ઉચ્ચ દિશામાં લઇ જાય તે યોગ

    મહર્ષિ પતંજલિએ આ બધાના સારરૂપ  196 સૂત્રો આપ્યા. પ્રત્યેક સૂત્ર માળાના એક મણકા જેવું છે. જે વ્યક્તિ એક એક સૂત્રને જીવનમાં ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કરે તે ચૈતન્યને પ્રાપ્ત કરવાની દિશામાં ગતિ કરે છે.’ પતંજલિ સૂત્ર ‘માં ચાર પ્રકરણ { અધ્યાય } છે.સાધનપાદ ,સમાધિપાદ ,વિભૂતિપાદ અને કૈવલ્યપાદ

    સાધનપદમા  મહર્ષિએ. પહેલા સૂત્રમાં યોગની વ્યાખ્યા કરી અને બીજાં સૂત્રમાં ચિત્તશુદ્ધિની વાતનો પ્રારંભ કર્યો છે. थ योगानुशासनम् ॥ 1 ॥-  ‘ હવે યોગમાર્ગના વિચારની શરૂઆત કરીએ.’   योगश्चित्तवृत्ति निरोधः ॥ 2 ॥  ‘ ચિત્તની વૃત્તિઓના નોરોધને અથવા ચિત્તવૃત્તિઓ સંપૂર્ણ રોકાઈ જાય તેને યોગ કહે છે.’

    ચિત્ત એટલે આપણું મન.જો અને જયારે મન જ  આપણને જે સૂચવે તેમ આપણે કરીએ છીએ.ગુજરાતીમાં ‘મન હોય તો માળવે જવાય ‘ની કહેવત સો ટકા સાચી છે.શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું કે ‘ બંધન અને મોક્ષની કારણ કેવળ મન જ છે.સહજ રીતે વિચાર,દૃષ્ટિ ,શ્રવણ વગેરે સાથે જોડાય એટલે આપણા  મનભાઈ સક્રિય થઇ જાય.

    જો મન યોગ્ય દિશામાં લઇ જાય તો માણસ ધારે તે મેળવી શકે .અને એટલે જ પતંજલિએ શરૂઆતમાં જ ચિત્તશુદ્ધિને પ્રાધાન્ય આપ્યું છે.

    ચિત્તવૃત્તિ એટલે મનમાં ઉદ્ભવતી વૃત્તિઓ .’વૃત્તિ’ શબ્દનો અર્થ મુખ્યત્વે સ્વભાવ, મનનું વલણ, દાનત કે ચિત્તમાં ઊઠતો વિચાર થાય છે.. મનોવિજ્ઞાન કે  આધ્યાત્મિકતા : અનુસાર મનની સ્થિતિ, લાગણી, કે સ્વભાવ (દા.ત., સાત્વિક કે રાજસિક વૃત્તિ).

    પતંજલિ સ્પષ્ટ કહે છે   तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम् ॥ 3 ॥  वृत्ति सारूप्यमितरत्र ॥ 4 ॥  – ‘ યોગસાધના દ્વારા  ચિત્તની પોતાની મૂળ વૃત્તિઓનો નિરોધ ન થાય ત્યાં સુધી  આત્મા પોતાના ચિત્તની વૃત્તિઓ  જેવું રૂપ ધારણ કરે છે.  જો આ વૃત્તિઓને રોકવામાં ન આવે તો માણસ જેવો હોય તેવો જ રહે છે.’

    કેવી હોય માણસ ની વૃત્તિઓ ?   वृत्तयः पञ्चतय्यः क्लिष्टाऽक्लिष्टाः ॥ 5 ॥

    ચિત્તની વૃત્તિઓ પાંચ પ્રકારની હોય છે તથા દરેક વૃત્તિના ક્લિષ્ટ { દુઃખ આપનારી } અને અક્લિષ્ટ { દુઃખ ન આપનારી }  એમ બે ભેદ હોય છે  એમણે વૃત્તિનું વિશ્લેષણ પણ કરી બતાવ્યું છે  प्रमाण विपर्यय विकल्प निद्रा स्मृतयः ॥ 6 ॥ (તે પાંચ વૃત્તિઓ છે:) ‘ પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ.’

    મહર્ષિ આગળના સૂત્રોમાં તે વૃત્તિની પણ સમજણ આપે છે

    • પ્રમાણ -પ્રમાણના ત્રણ ભેદ છે प्रत्यक्षानुमानागमाः प्रमाणानि ॥ 7 ॥-પ્રત્યક્ષ ,અનુમાન અને આગમ.  મન ,બુદ્ધિ કે ઇન્દ્રિયથી જોઈ કે અનુભવી હોય તે  પ્રત્યક્ષ ,જેની ધારણા અપ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાતે અનુમાન અને કોઈ  શાસ્ત્ર ,સંત કે મહાનુભાવના વિધાન કે વિચારથી અપનાવાય તે આગમ વૃત્તિ અલબત્ત આ ત્રણેય પ્રમાણમાં પણ ક્લિષ્ટ અને અક્લિષ્ટ ભેદ તો હોય જ .
    • વિપર્યય  विपर्ययो मिथ्याज्ञानमतद्रूप प्रतिष्ठम् ॥ 8 ॥ કોઈ  વસ્તુના મૂળ સ્વરૂપને ન સમજીને બીજી વસ્તુ સમજી લેવી  તેવા મિથ્યા જ્ઞાનને વિપર્યય કહે છે
    • વિકલ્પ . शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः ॥ 9 ॥ વાસ્તવમાં જેનું અસ્તિત્ત્વ જ ન હોય અને ફક્ત શબ્દના  આધાર પર કલ્પના કરવા  વાળી ચિત્તની વૃત્તિને વિકલ્પ  વૃત્તિ કહે છે
    • નિંદ્રા    अभाव प्रत्ययालम्बना वृत्तिर्निद्रा ॥ 10 ॥ માણસને જે વખતે કોઈ જ વિષયનું જ્ઞાન  રહેતું   નથી ફક્ત જ્ઞાનના અભાવની પ્રતીતિ થાય છે તેને તે ચિત્તવૃત્તિને નિંદ્રા કહે છે.
    •  સ્મૃતિ    अनुभूत विषयासम्प्रमोषः स्मृतिः ॥ 11 ॥  જુદી જુદી વૃત્તિઓ દ્વારા અનુભવાયેલા વિષયોના સંસ્કાર ચિત્તમાં  પડેલા હોય જે  કોઈ નિમિત્તને લીધે ફરી જાગૃત થાય કે પ્રગટ થાય તેને સ્મૃતિ  છે.

    ચિત્તવૃત્તિઓ તો જાણી પણ મહર્ષિ તો એને નિરોધ કરવાની -અવરોધવાની ક્રિયાને યોગ કહે છે.કેવી રીતે  થશે તેનો અવરોધ ?


    શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com

  • કચરો પણ છેવટે ગરીબોના સરનામે પહોંચે છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ‘શું પહેરવું?’ એમ કોઈ કહે ત્યારે ઘડીભર એમ લાગે કે એ વ્યક્તિ પાસે વસ્ત્રોની અછત હશે, પણ હવે એથી વિપરીત સ્થિતિ હોઈ શકે એવી સંભાવના પૂરેપૂરી છે. એટલે કે વસ્ત્રોની અછતની નહીં, છતની સમસ્યાથી એ ગ્રસ્ત હોય. આ એક ગંભીર વાસ્તવિકતા છે અને પર્યાવરણની રીતે તેને વિચારવા જેવી છે,

    તાજેતરમાં યુરોપના ચાર દેશોમાં થયેલા એક અભ્યાસે એક ચોંકાવનારી હકીકત ઉજાગર કરી. એ મુજબ નકામાં ગણીને ફેંકી દેવાયેલાં આઠ હજારથી વધુ કપડાંને તપાસતાં જાણવા મળ્યું કે એમાંનાં લગભગ એંસી ટકા જેટલાં કપડાં ફરી પહેરી શકાય તેવી સ્થિતિમાં હતાં. ઘણાંને માત્ર ધોવાની જરૂર હતી, તો કેટલાકને નાનકડી મરમ્મતની. આમ છતાં તે ફરી કોઈના ઉપયોગમાં આવ્યાં નહીં અને કચરાનો ઢગલો બની ગયાં.

    પ્રાથમિક દૃષ્ટિએ જોઈએ તો આ બેદરકારીનું પરિણામ જણાય, પણ હકીકતમાં આ એક આખી આર્થિક વ્યવસ્થાનું પરિણામ છે. એમ શી રીતે?

    વર્તમાન યુગ ફાસ્ટ ફેશનનો યુગ છે. કપડાં હવે ઋતુ પ્રમાણે બદલાતાં નથી; એ રોજેરોજ બદલાતાં રહે છે. ફેશન કંપનીઓ દરરોજ નવી ડિઝાઇન બજારમાં મૂકે છે, અને એ પણ કિફાયત દરે. બીજી તરફ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો વ્યક્તિને સતત નવા દેખાવાનું દબાણ ઊભું કરે છે. આને કારણે કપડાંની ઉપયોગિતા કરતાં તેની નવીનતા વધારે મહત્ત્વની બની ગઈ છે. એનો અર્થ એટલો કે કપડું ઘસાઈ જાય એટલે નહીં, પણ તેનાથી મન ભરાઈ જાય એટલે એ ‘જૂનું’ બની જાય છે.

    આ પરિવર્તનની સૌથી મોટી અસર એ થઈ છે કે કપડાંનાં સમારકામની સંસ્કૃતિ લગભગ અદૃશ્ય થવા લાગી છે. એક સમય હતો કે જ્યારે શર્ટનું કે પેન્‍ટનું બટન તૂટી જાય તો નવું બટન ટાંકવામાં આવતું, પેન્ટ ફાટે તો સાંધવામાં આવતું, કે સ્વેટર ક્યાંકથી ખૂલે તો એટલા ભાગને ગૂંથી લેવામાં આવતો. ઘરમાં સિલાઈનું મશીન હોવું સામાન્ય બાબત હતી, એમ દરજીઓ પણ માત્ર નવા કપડાં નહોતા સીવતા, બલકે જૂનાં કપડાંને નવું જીવન પણ આપતા હતા.

    આજે પરિસ્થિતિ સાવ ઊલટી છે. ઘણી વાર શર્ટનો કોલર બદલાવવા જેટલા ખર્ચમાં નવું શર્ટ મળી જાય છે. વસ્ત્રોના સમારકામ કરતાં નવા વસ્ત્રની ખરીદી સસ્તી પડતી હોય તો ગ્રાહક માટે નિર્ણય લેવો સરળ બની જાય છે. બજાર આપણને કયો રસ્તો પસંદ કરાવશે તે સ્પષ્ટ છે.

    આ એક વિચિત્ર અર્થશાસ્ત્ર છે. વિશ્વમાં દર વર્ષે કરોડો ટન કપડાં કચરાના ઢગમાં ફેરવાય છે. તેનો એક મોટો હિસ્સો સમૃદ્ધ દેશોમાંથી ગરીબ દેશોમાં પહોંચે છે. ઘાના, પાકિસ્તાન અને આફ્રિકાના અન્ય દેશોમાં સેકન્ડ-હેન્ડ કપડાંના વિશાળ બજારો ઉભા થયા છે. તેમાંના ઉપયોગી એટલે કે પહેરી શકાય એવાં કપડાં વેચાઈ જાય છે, પણ બિનઉપયોગી કપડાં આખરે સ્થાનિક કચરાના ઢગલામાં જમા થાય છે. એટલે કે ઘણી બધી વાર આપણે જે કપડાં ‘દાન’ તરીકે કે ‘રીસાયકલ’ કરવાના હેતુથી મોકલીએ છીએ, તે કોઈક બીજા દેશના પર્યાવરણમાં જઈને અંત પામે છે. સીધી રીતે કહીએ તો એ અન્ય કોઈ દેશના કચરામાં વધારો કરે છે. એક દેશનું કબાટ ખાલી થાય છે, અને બીજા કોઈ દેશની કચરાપેટી ભરાય છે.

    આ સમસ્યા દિન બ દિન ગંભીર બની રહી છે, અને તેના ઊકેલ બાબતે વિવિધ ઉપાયો સૂચવાઈ રહ્યા છે. એ પૈકીનો સૌથી મહત્ત્વનો ઉપાય ‘રિસાયકલિંગ’નો ગણાવાય છે. પરંતુ તે પહેલાંનો તબક્કો છે ‘રીયૂઝ’ એટલે કે ઓછું ખરીદવું, લાંબો સમય વાપરવું અને સમારકામ કરીને ફરી ઉપયોગમાં લેવું. એ પછી જ રિસાયક્લિંગ તરફ જવું. આ ઉપાય ક્યારે શક્ય બને? સમાજ તેને મહત્ત્વ આપે અને મૂલ્યવાન ગણે ત્યારે! અત્યારે તો નવી વસ્તુનાં માનપાન છે, નહીં કે ટકાઉ વસ્તુનાં.

    ફેશન અર્થતંત્રનું સ્વયંપોષિત ચક્ર
    સાંદર્ભિક  તસવીરઃ નેટ પરથી

    વિચિત્ર વાત એ છે કે ફાસ્ટ ફેશને કપડાં જ નહીં, ટકાઉપણા વિશેની આપણી સમજ પણ ધરમૂળથી બદલી નાખી છે. પહેલાં વસ્તુ લાંબો સમય ટકે તો એ ગુણવત્તાયુક્ત ગણાતી. આજે જે વસ્તુ ઝડપથી બદલાઈ શકે એ સફળ ગણાય છે. અને આ માનસિકતા માત્ર કપડાં પૂરતી મર્યાદિત નથી. મોબાઇલ ફોનથી લઈને ફર્નિચર સુધી અને વિચારોમાંથી લઈને સંબંધો સુધી બધે જ બોલબાલા ટકાઉ’ની નહીં, પણ ‘નવા’ની થઈ ગઈ છે. આથી જ, પર્યાવરણના પ્રશ્નોનો ઉકેલ માત્ર નવી ટેક્નોલોજીથી આવશે એવી માન્યતા સંપૂર્ણ સાચી નથી. આપણે કેટલી ચીજવસ્તુઓ ઉત્પાદિત કરી શકીએ છીએ, તેના કરતાં વધુ મહત્વનું એ છે કે આપણે વસ્તુઓને કેટલું લાંબું જીવન આપી શકીએ છીએ.

    આમાં એક મનોવૈજ્ઞાનિક પાસું પણ છે. પહેલાં નવી વસ્તુ ખરીદવી એ કોઈ વિશેષ પ્રસંગ ગણાતો. હવે ખરીદી પોતે એક જાતનું મનોરંજન બની ગઈ છે. ઑનલાઇન વેચાણ, ડિસ્કાઉન્ટ, ‘લિમિટેડ ઑફર’ અને સતત બદલાતી ફેશન ગ્રાહકમાં એવી લાગણી ઊભી કરે છે કે આજે આપણે કશું નહીં ખરીદીએ તો કંઈક અગત્યનું ગુમાવી બેસીશું અને પાછળ રહી જઈશું. આવી  માનસિકતા વસ્તુની જરૂરિયાત કરતાં ખરીદીના રોમાંચને વધારે મહત્ત્વ આપે છે. પરિણામે કપડાંનો ઉપયોગ ઓછો અને તેમની હેરફેર વધુ ઝડપી બની છે. આ સંજોગોમાં એક નાગરિક તરીકે આપણે એ યાદ રાખવાનું છે કે પર્યાવરણની લડાઈનો મોરચો માત્ર કારખાનામાં નહીં, આપણા પોતાના કબાટ સામે પણ જીતવાનો છે. દેખાદેખીમાં આપણે કશું પણ નવું ખરીદતાં પહેલાં સહેજ થોભીશું, એક વાર વિચાર કરીશું કે ખરેખર આપણને જરૂર છે કે માત્ર નવીનતાની ‘કીક’ ખાતર ખરીદી રહ્યા છીએ, તો આ મોરચો પૂરેપૂરો તો નહીં, પણ અડધો સર થવાની સંભાવના રહેશે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૬-૮– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • સ્મૃતિસંપદા – જગદીશ પટેલ : જીવનનાં ઝરણાં [૧]

    જગદીશ પટેલનો જન્મ નડિયાદમાં ૧૯૪૫ની સાલમાં થયો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એન્જિનીયરીંગ નો અભ્યાસ કરી ૧૯૬૯માં વધુ અભ્યાસ અર્થે અમેરિકા આવ્યા.

    લાસ વેગાસમાં એન્જિનીયર તરીકે થોડો વખત કામ કર્યા પછી સ્ટોરના ધંધામાં ઝંપલાવ્યું. ગાંધી વિચાર શૈલી અને સમાજ કલ્યાણની ભાવના સાથે અમેરિકામાં તેઓ પાંગર્યા તેનો તેમને સંતોષ છે. સ્થળાંતરવાસીઓને તેઓ ભાગ્યશાળી માને છે. પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિનો સુમેળ કરવામાં તેઓ સફળ રહ્યા છે.

    પોતાની જાતને અમેરીકામાં વસતા એક સાધારણ ગુજરાતી તરીકે ઓળખાવતા જગદીશભાઈ હાલ લાસ-વેગાસમાં નિવૃત જીવન ગાળે છે. પ્રમાણિકતા અને નિખાલસતા સાથે તેઓ જીવનનો આનંદ સ્નેહી-મિત્રો સાથે વહેંચતા રહે છે અને ગુજરાતી વાંચન અને લેખન થકી સાહિત્ય સાથે પણ તેઓ સંકળાયેલ રહ્યા છે. ગોલ્ફ રમવાનો અને પ્રવાસનો તેમને ઘણો શોખ છે. ઊંચી આતિથ્ય ભાવનાને કારણે એમનું મિત્રવર્તૂળ વિશાળ છે જેમાં સાહિત્ય રસિકોનો સમાવેશ પણ થાય છે.

    Email: jagdishwriter@gmail.com


    મારી જીવનયાત્રા લખવાનું શરૂ કરું છું ત્યારે મને મુંઝવણ થઈ છે કે મારી જિંદગી માટે કોઈપણ વ્યક્તિને શા માટે કુતુહુલ થાય કે તેમાં રસ હોય? મારા જીવનમાં ઉપદેશ કે સિદ્ધિ નથી, કે નથી અસાધારણ અનુભવો. મારાં સગાવહાલાં કે મિત્રો સિવાય મને કોઈ ઓળખતું નથી, હું જીવન સંગ્રામ લડ્યો નથી, શિખરો સર કરવાનો પ્રયત્ન પણ ના કર્યો, ઇનામ નથી મળ્યાં. આયુષ્ય વીત્યું છે સરળ વહેતાં ઝરણાં માફક, નહીં કે પુરથી ધસતી નદી. મારી પાસે સાહિત્યિક શૈલી લખાય તેવી આવડતનો અભાવ છે.

    ઘણાં કારણો છે ન લખવા માટે, પણ તેવી નકારસૂચક બાબતો મને ક્યારેય રોકી શકી નથી. હું સાચે જ માનુ છું કે ગુજરાતથી અમેરિકા આવેલા મારા સમવયસ્ક સામાન્ય વ્યક્તિઓ નો હું એક ચહેરો, એક દર્પણ છું. મારી જીવનયાત્રાને ગુજરાતી-અમેરિકન બંધુઓના સ્વાનુભવોનું દૃષ્ટાન્ત પણ કહી શકાય. કહેવાય છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તે પ્રમાણે, પચાસ વર્ષોના પરદેશમાં વહેવાસ પછી પણ, હું સ્વયમ ને અમેરિકન ગણું છું છતાં, મારાં સંસ્મરણો ગુજરાતનું પ્રતિક છે. તેમાં અગણિત ગુજરાતીઓ ને પોતાના અનુભવોની ઝાંખી થઈ શકે. ખેર, બીજું કશું નહીં તો મારી આત્મકથાને નિરાદ ચોધરીના પુસ્તકની માફક “ઔટોબાયોગ્રાફી ઓફ એન અનનોન ગુજરાતી” કહી શકાય.

    ભૂતકાળમાં પગલું ભરું તે પહેલાં આ ઘડીએ વિચાર આવે છે કે જિંદગી કયા સમયે ચાલુ થઈ કહેવાય. જન્મસમય તો પૃથ્વી પર આગમનનો છે, પરંતુ આપણે કેવા માણસ તરીકે જીવન જીવીએ છીએ તેમાં આપણા પૂર્વજોનો મહત્ત્વનો અને કિમતી ફાળો હોય. સંસ્કાર, સંસ્કૃતિ, ડીએનએ વગેરે વ્યક્તિનું નિર્માણ કરે છે, તેમની સતત ઉપસ્થિતી જન્મથી મૃત્યુ વચ્ચેના ગાળામાં આપણને માર્ગદર્શન આપે છે. આ સમયે મારી ઉંમર વધી છે અને મૃત્યુ નજદીક આવતું હોય તેમ લાગે છે ત્યારે, પૂર્વજો વિશે જે માહિતી છે  તે યાદ કરી મને ખૂબ હર્ષ થાય છે.

    અમારું મુળ વતન ચરોતરનુ ધર્મજ ગામ છે. ત્યાં મારા દાદા શિવાભાઈ પટેલ માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ હતા. તેઓ પ્રખ્યાત કવિ મણિશંકર રત્નજી ભટ્ટ (કાંત)ના વિદ્યાર્થી, અને પછી સાથી થયા હતા. મુંબઈ, ૧૯૧૫માં કાન્ત, દાદા અને બીજા દસેક બૌદ્ધિક પુરુષોએ ભેગા થઈ “હિંદી સ્વીડનબૉર્ગ સોસાયટી”ની સ્થાપના કરી. ખ્રિસ્તી ધર્મના પાદરીની આધ્યાત્મિકતાથી પ્રેરાઈને તેમણે ચર્ચ નહીં પરંતુ એક સંસ્થા ચાલુ કરી જેથી સ્વીડનબોર્ગના વિચારોનો હિંદમાં ફેલાવો થાય. તે કામ સહેલું ન હતું, પરંતુ અભિલાષા અને આગ્રહથી ભરેલા માણસોનું મંડળ એકઠું થયું અને સોસાયટીની સ્થાપના કરી. દાદા તેના પહેલા સેક્રેટરી થયા. થોડા જ મહિનામાં મુંબઈના વિવિધ ધર્મ અને જાતિના પ્રજાજન તેના સભ્ય થયા. તે સંસ્થા બહુ ચાલી ન હોય તેમ હું માનું છું. છતાં મને તેના કાર્યકર્તાઓની હિંમત અને હોંશિયારી માટે માન છે. દાદાએ ‘જીવન પ્રબોધ’ નામની પુસ્તિકા લખી હતી તે વાંચીને મને નવાઈ લાગે છે કે તે સમયે ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનમાં તેમને કેવો રસ હતો, કેવી જિજ્ઞાસા હતી.

    મારા માતાના પિતા, આજકાલ જેમને નાના કહેવાય છે, રાવજીભાઈ પટેલ ૧૯૧૦ની આસપાસ દક્ષિણ આફ્રિકા ગયા હતા. થોડા સમય પછી ત્યાં જે ધંધો કરતા હતા તે છોડ્યો અને ગાંધીજી સાથે ફિનિક્સ આશ્રમમાં જોડાઈ ત્યાંના ભારતીયોને જે તકલીફ પડતી હતી તે દૂર કરવાની ચળવળમાં ભાગ લીધો. વર્ષો પછી ભારતમાં આવી બાકીની જિંદગી સાબરમતી આશ્રમમાં અને સ્વતંત્રતાની લડતમાં ગુજારી. તે સમયમાં તેમણે ઘણા પુસ્તકો લખ્યાં. તેમાંથી એક “હિંદના સરદાર”નું નાનું રૂપાંતર કરી ગુજરાત સરકારે લાખો પુસ્તકો ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ ના ભૂમિપૂજનમાં નાગરિકોને મફત વહેચ્યાં હતાં.

    રાવજીદાદાએ બે ભાગની આત્મકથા લખી તેમાં એક સુંદર, રસદાયક પ્રસંગનું વર્ણન છે. તે બન્ને દાદાઓના વ્યક્તિત્વની મનોહર ઝાંખી આપે છે.

    મારા માતાપિતાના વિવાહ ૧૯૨૦માં નક્કી થયા ત્યારે રાવજીદાદાએ તેમના ભાવિ વેવાઈ શિવાદાદાને ૩૦૧ રૂપિયા આપવા ખિસ્સામાંથી કાઢ્યા હતા. તે પ્રસંગનો અહેવાલ આત્મકથામાં આ પ્રમાણે હતો :

    “શ્રી શિવાભાઈ જાણે ચમક્યા હોય તેમ બોલી ઊઠ્યા, ‘રૂપિયા, રૂપિયા શાના?”

    “ન્યાતના રિવાજ પ્રમાણે સગાઈ થતાં ચાંલ્લો અપાય છે, તેથી સગાઈ નક્કી થઈ ગણાય.”

    શ્રી શિવાભાઈતો હસ્યા. તે બહુ મર્મભેદી ભાષા બોલનાર હતા. મજાકી અને આનંદી પણ ખરા. ઉચ્ચ આદર્શપ્રિય જીવનની આવી ભાષા બહુ ગૂઢ અર્થવાળી હોય છે. તે મજાક કરતા બોલ્યા, “ન્યાતનો રિવાજ? ન્યાતનો રિવાજ સાટાનો હોય છે, ચાંલ્લાનો ક્યાં છે? ચાંલ્લો કંકુનો હોય, ચાંદીના ટુકડાનો કેમ? મેં તમને વાછરડો નથી વેચ્યો કે તમારી પાસે સાટાના રૂપિયા લઉં. નાતમાં એવો રિવાજ હશે પણ હું લબાડ માણસ નથી. હું ફરી જઈશ તેમ માનીને મને સાટુ આપીને બાંધો છો? મારું અને મગનભાઈનું વચન પૂરતું છે. હૃદયના વિશ્વાસનું પ્રતિક રૂપિયા ના હોય, એ તો એક બીજા પ્રત્યેની શ્રદ્ધા જ હોય.”

    પછી શિવાભાઈ ગંભીરતાપૂર્વક બોલ્યા, “ઠીક થોભો, હું આવું છું.” તે ગયા અને બે જ મિનિટમાં પાછા આવ્યા અને કહ્યું, “લો, મારા પણ ત્રણસો એક. મને લાગે છે કે વરના બાપે પણ કાંઈ કરી છૂટવું જોઈએ. તમે કન્યાના બાપ થયા એટલે બાપડા, બિચારા? હું વરનો બાપ થયો એટલે ટેડુંજી નથી. જો તમે કન્યાને ઉછેરી સમાજના ગુનેગાર થયા છો તો હું પણ તેવો જ છું. આપણે બન્ને સરખા છીએ.”

    અંતે વરકન્યાના નામે ૬૦૨ રૂપિયા એક સંસ્થામાં ભેટ આપ્યા.

    રાવજીદાદાએ સ્વતંત્રતા પછી ફક્ત સમાજસેવા અને સુધારણામાં રસ લીધો. રાજકારણમાં સહેલાઈથી જઈ શક્યા હોત પણ તેમણે ના પાડી અને ભારત સમાજ સેવકના પ્રમુખ થયા. દેશભક્ત અને સમાજ સુધારક થઈ પાંચ દસકા સુધી સેવા કરી.

    અંતિમ વર્ષોમાં તેમણે માનવમૂત્ર પીવાના પ્રયોગો કર્યા હતા અને એક પ્રચલિત પુસ્તક લખ્યું હતું, જેના ઘણા ભાષાંતર પણ થયા છે. મોરારજી દેસાઈ દાદાને અંગત રીતે ઓળખતા હતા અને તેમણે પણ મૂત્ર પીવાના પ્રયોગો કર્યા. આજે અમે હસીએ છીએ કે આપણા કુટુંબે ભારતને મૂત્ર પીતા શીખ્વ્યું છે. બહું જ અગત્યનો ફાળો છે! મારા પિતાએ પણ જ્યારે ગાંધીજીએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાની ચળવળ ઉપાડી હતી ત્યારે લંડન જવાનું બંધ રાખ્યું હતું. પછી આખી જિંદગી ખાદીનાં કપડાં જ પહેર્યાં. આવા પૂર્વજોની ત્રીજી થી છઠી પેઢીઓ આજે અમેરિકામાં છે. અમે ઘણીવાર ભેગા મળીએ ત્યારે વાત કરીએ છીએ કે આપણા બાપદાદા જેવા હતા તેમાંથી આપણામાં કશું રહ્યું નથી. સાપ ગયા અને લિસોટા રહ્યા. પરંતુ હકીકત એ છે કે ભલે અમે દેશભક્ત કે સમાજ સુધારક નથી થયા, પૂર્વજના વિચારો, તેમની જિંદગીના દાખલા, રહેણીકરણી વગેરેની અમારી જિંદગીમાં ખૂબ અસર છે. અમારું વર્તમાનના કુટુંબને વારસામાં જે મળ્યું છે તે માટે તેમનું ખૂબ આભારી છે.

    *  *  *   *  *

    પહેલા વિશ્વયુદ્ધ પછી અમારા બાપુજી મુંબઈથી નડિયાદ આવ્યા અને ધંધો ચાલુ કર્યો. ત્યાં પાંચ દિકરી પછી, ૧૯૪૫માં મારો જન્મ થયો. ઘણી રાહ જોયા બાદ, પાંચ પાંચ દિકરીઓ પાછળ, જે દિકરાનો જન્મ થાય તે રાજકુંવર જેવો લાડકો હોય. કુટુંબના બધાં સભ્યો મને ખૂબ સાચવતાં. પહેલાં પાંચ વર્ષ સુધી જૂની અંધશ્રદ્ધાને લઈને મારા માતાએ મને ભિખારી બનાવ્યો હતો. તેથી કોઈના આપેલાં કપડાં જ પહેરવાનાં. ખરેખર તો મારાં કપડાં ભીખ માંગીને નહીં પરંતુ સગાવહાલાંની ભેટથી મળતાં. મારું નામ પણ પહેલાં ગોપાલ, તે છઠા વર્ષે જગદીશ બન્યું. પાંચ વર્ષ  કામચલાઉ નામ આપવાનું કારણ એમજ કે તે જમાનામાં ઘણાં બાળકો વહેલાં ગુજરી જતાં. તેથી કાયમી નામ મોડું મળ્યું. આજે ૭૬ની ઉમરે કુટુંબીજનો મને ગોપાલથી જ બોલાવે છે.

    નડિયાદમાં બાપુજીની સ્પોર્ટના સામાનની દુકાન હતી. તે સમયે નિશાળો, કૉલેજો, વ્યાયામશાળા કે પોળમાં રમાતી રમતોનો સામાન અમારે ત્યાં વેચાતો. હું આઠ-દસ વર્ષનો હતો ત્યારે નબળો અને બિકણ હતો તેથી ક્રિકેટ સારું રમી શકતો ન હતો. પોળના બાળકોની એક ટીમ હતી, તેને અમે પાટી કહેતા. બોલ-બેટ દુકાનમાં થી મને મફતમાં મળતાં તેથી હું ટીમને ભેટ આપતો. તે કારણે ટીમમાં મને કાયમ, યોગ્યતા ન હોવા છતાં, સ્થાન મળતું.

    નડિયાદમાં નાત કે વ્યયસાવ પ્રમાણે બધી પોળો હતી. જેમકે કંસારવાડ, મોદીસાંથ, શેઠપોળ, વગેરે. અમે મૂળ ધર્મજના અને અમારી અટક પટેલ, પણ દેસાઈવગોમાં બધા દેસાઈઓ વચ્ચે વસવાટ કરેલો. સામાન્ય રીતે નડિયાદના યુવાનો બહુ તોફાની હોય છે તેવી માન્યતા ત્યારે પ્રચલિત હતી. જેથી મારા બાને ચિંતા થતી કે હું ખરાબ સોબતમાં આવીને બગડી જઈશ. સાચી વાત તો એ હતી કે હું ડરપોક હતો તેથી બાનો અજંપો અસ્થાને હતો. આજે છ દસકા પછી પણ મને નઠારા સપના આવે છે. જેમ કે હું પતંગ ચઢાવવા છાપરા પર ચઢ્યો છું અને નીચે ઉતરાતું નથી, અથવા કૂતરો મારી પાછળ દોડે છે અને હું પડી જાઉં છું, અને મારું માથું પથ્થર પર અથડાય છે. મહા મહિનામાં નડિયાદના પ્રખ્યાત સંતરામ મંદિરમાં મોટો મેળો થાય તેમાં અમે ચાનો સ્ટોર કરતા અને ટીમ માટે પૈસા બનાવતા. કોઈ વાર સારી ફિલ્મ આવી હોય તો વહેલા વહેલા લાઇનમાં ઊભા રહી ટિકિટો લઈ કાળાબજારમાં વેચતા પણ હતા. ધૂળેટીના દિવસે રસ્તા પર આવતા-જતા લોકોને રંગનો ડર આપી પૈસા ભેગા કરવાનું દર વર્ષે થતું. પછી તે દિવસે ખેતરમાં જઈ માટલાનું ઉંધિયું અને ફરસાણ ખાવાની મજા ઘણી વાર યાદ આવે છે, તેની તીવ્ર ઇચ્છા આજે પણ થાય છે. પોળમાં અમે આધુનિક અને સુધરેલા કુટુંબના હોવાથી અમારું માન હતું. તે સમયના મોટા ભાગના લોકોની જેમ અમે સુખી અને સંતોષી જીવન જીવતા.

    પ્રાથમિક અને માધ્યમિક શાળાના અભ્યાસ પછી હું વડોદરા એમ. એસ. યુનિવર્સિટીમાં એન્જિનિયર થવા ગયો. ત્યાં ચાર વર્ષે સહેલાઈથી, સરળ ઝરણાના વહેણની માફક, પસાર થયાં. મારા વિદ્યાર્થી જીવનનો અંત આવ્યો.

    પુખ્ત ઉંમરનું પહેલું પાનું પણ લખાયું ન હતું ત્યારે મને જીવનની વાસ્તવિકતાનો અનુભવ થયો. મારી કસોટી થઈ.

    કૉલેજના પરિણામ અને સફળતા પછી હું અમદાવાદ મામાને ઘરે હતો ત્યારે સમાચાર આવ્યા કે મારા પિતા હૃદયરોગના હુમલાથી અચાનક મૃત્યુ પામ્યા છે. તે સમયે કુટુંબ રતલામમાં રહેતું હતું. અમે તરત ગાડીમાં નિકળી, લાંબી મુસાફરી કરી સીધા સ્મશાન પર ગયા. ત્યાં મેં મોટા દિકરા તરીકે તેમનો અગ્નિદાહ કર્યો. સ્મશાનમાં મને વિચાર આવવા લાગ્યા. મારી બે કુંવારી બહેનો અને ભાઈ હવે મારા પર નિર્ભર થવાના હતા. મોટાભાઈ તરીકે, પ્રણાલિકા પ્રમાણે, તેમની જવાબદારી મારી ગણાય. બાપુજી ખાધે પીધે સુખી, પણ બધી મિલકત એક પછી એક વેચી, દિકરીઓના લગ્ન પ્રસંગે  સમાજના રિવાજો નીભાવવા, તેમણે અખૂટ ખર્ચો કર્યો હતો. સમાજસુધારા માટે ઘણી પરંપરાનો બહિષ્કાર પણ કર્યો હતો. તેથી મરણના સમયે બાપુજી પાસે મકાન સિવાય બહુ એસેટ નહીં. મને થયું કે સમાજ હવે મારી સ્થિતિ માટે મને દયાપાત્ર ગણશે. મેં નક્કી કર્યું કે મારે જવાબદારી નિભાવવા જે કરવું પડે તે હું મક્કમ મને, ધ્યેય પર નજર રાખી, કોઈ કે કશાની ચિંતા વગર કરીશ. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે તેમ મારાં ધર્મ અને ફરજ બજાવીશ, મારા કર્મથી.

    ૧૯૬૭ માં વડોદરાના મોટાભાગના સ્નાતક એન્જિનિયરો અમેરિકા જવા આતુર હતા. મેં પણ મુંબઈ જઈ અંગ્રેજીની પરીક્ષા પાસ કરી કૉલેજમાં એડમિશન માટે અરજીઓ કરી. પરંતુ મારો પ્રથમ વર્ગ ન હોવાથી તકલીફ પડી. તે સિવાય ખર્ચાનો પણ સવાલ. નસીબજોગે મામાએ ટિકીટની, અને મારા ફોઈનો દિકરો દિલીપ જે બે વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો તેણે સ્પોન્સરશીપની વ્યવસ્થા કરી. તે સમય દરમ્યાન, એડમિશનની રાહ જોતાં, મેં અમદાવાદમાં એન્જિનિયરની નોકરી મેળવી.

    તે પંદર મહિનાના ગાળામાં, અમેરિકા જવા આતુરતાથી વાટ જોઈ રહ્યો હતો ત્યારે, ચાલુ થઈ મારી પ્રેમકથા.


    ક્રમશઃ