-
સ્મૃતિઓ પર માલિકી કોની? વ્યક્તિની કે સત્તાતંત્રની?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
દરેક રાષ્ટ્રના ભૂતકાળમાં એવી ઘટનાઓ હોય છે, જેના માટે તેને ગૌરવ અનુભવાય; અને એવી પણ હોય છે, જેના માટે ગ્લાનિ અનુભવાય. ગૌરવ અનુભવવું સહેલું હોય છે, પણ ગ્લાનિયુક્ત ઈતિહાસ શી રીતે જીરવવો? તેને કેમે કરીને ઢાંકી શકાતો નથી. જેમ કે, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીનો નાઝી ભૂતકાળ કે દક્ષિણ આફ્રિકાના કલંક જેવો રંગભેદનો ઈતિહાસ. આવા કલંકિત કે શરમયુક્ત ઈતિહાસમાં વર્તમાન પેઢીનું કશું પ્રદાન નથી હોતું, પણ એવા સવાલનો વારંવાર સામનો કરવાનો આવે છે કે પોતાના દેશના એ શરમજનક ઈતિહાસનું કરવું શું? તેને ખુલ્લા મને સ્વીકારવો, તેની ચર્ચા કરવી કે પછી તેની પર ઢાંકપિછોડો કરીને તેને વિસરાવી દેવો? જે તે રાષ્ટ્રની વૈચારિક પરિપક્વતા કેવી છે એ તેના આ બાબત પ્રત્યેના અભિગમથી સ્પષ્ટ થાય છે.
ભારતમાં પણ ઇતિહાસ અંગેની ચર્ચાઓ અવારનવાર ઊભી થતી રહે છે. પાઠ્યપુસ્તકોમાં ફેરફાર, કયા શાસકને કેટલું સ્થાન મળવું જોઈએ, કઈ ઘટનાનું અર્થઘટન કેવી રીતે કરવું, વગેરે બાબતો અવારનવાર પ્રસાર માધ્યમોમાં ચમકે છે. અલબત્ત, એક વાત સ્પષ્ટ છે કે જે ઇતિહાસની ખુલ્લી ચર્ચા થતી નથી, તે ઇતિહાસ અદૃશ્ય થતો નથી; પણ જાહેર જીવનમાંથી ખાનગી સ્મૃતિઓમાં જતો રહે છે.
આ સંદર્ભે ચીનમાં બનેલી એક ઘટના વિચારવા જેવી છે. વિજ્ઞાન, ટેક્નોલોજી, ઉત્પાદન અને અર્થતંત્રમાં સમસ્ત વિશ્વને આશ્ચર્યચકિત કરનાર આ દેશ પોતાના ભૂતકાળના એક અધ્યાય અંગે આજે પણ અસ્વસ્થતા અનુભવે છે એ જાણીને આપણને આશ્ચર્ય થયા વિના રહે નહીં. ચીનના ભૂતકાળનો એ અધ્યાય એટલે ચીનના સર્વોચ્ચ નેતા માઓ ઝે દોંગના નેતૃત્ત્વમાં ૧૯૬૬માં આરંભાયેલી ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ તરીકે ઓળખાવાયેલી ઘટના, જેણે આ વર્ષે છ દાયકા પૂરા કર્યા. એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ જેવું સત્તાવાર નામ ધરાવતી આ ચળવળની સૌથી મોટી કિંમત સંસ્કૃતિએ જ ચૂકવવી પડી હતી. વિચારધારાની શુદ્ધિના નામે શરૂ થયેલું આ અભિયાન જોતજોતાંમાં સામાજિક ઉન્માદમાં ફેરવાઈ ગયું. લાખો લોકોનાં જીવનમાં ઊથલપાથલ થઈ ગઈ. શિક્ષકોને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા, વિદ્વાનોને શ્રમશિબિરોમાં મોકલવામાં આવ્યા, કલાકારો અને લેખકોને શંકાની નજરે જોવામાં આવ્યા. પુસ્તકોનો નાશ થયો, પરંપરાઓને પ્રતિક્રિયાવાદી ગણવામાં આવી અને વ્યક્તિનું મૂલ્ય તેના વિચારોથી નહીં, તેની રાજકીય વફાદારીથી નક્કી થવા લાગ્યું. આ ચળવળમાં વીસેક લાખ લોકો મૃત્યુ પામ્યા કે આત્મહત્યા કરવા મજબૂર બન્યા. આજે પણ તેની સ્મૃતિઓ ભૂંસાઈ નથી.
૧૯૭૬માં માઓના મૃત્યુ પછી ધીમે ધીમે ચીનમાં પરિવર્તન શરૂ થયું. અર્થવ્યવસ્થા ખુલ્લી થઈ. વિશ્વ સાથેના સંબંધો વધ્યા. નવી પેઢી ઊભી થઈ. પણ પેલી સાંસ્કૃતિક ક્રાંતિનું શું? સરકારે તેને ભૂલ ગણાવી ખરી, પરંતુ તેના વિશે કેટલું બોલી શકાય, શું લખી શકાય અને કઈ રીતે યાદ કરી શકાય તેની મર્યાદા આજે પણ રાજ્યસત્તા નક્કી કરે છે.
એ શી રીતે? અમેરિકામાં વસતા સિત્તેર વર્ષના ચીની શિલ્પકાર ગાઓ ઝેન ૨૦૨૪માં ચીનની મુલાકાતે આવ્યા કે તેમની ધરપકડ કરી લેવામાં આવી. તેમની પર ‘રાષ્ટ્રીય નાયકો અને શહીદોની બદનામી’નો આરોપ મૂકવામાં આવ્યો. કારણ? આ શિલ્પકારે ભૂતકાળમાં એવાં શિલ્પો બનાવેલાં, જેમાં માઓનું વ્યંગ્યાત્મક નિરુપણ હતું. વક્રતા એ છે કે તેમણે પોતાની કૃતિઓ સર્જી ત્યારે આવો કોઈ કાનૂન અસ્તિત્ત્વમાં નહોતો. આ કલાકારના પિતા સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન અત્યાચારનો ભોગ બન્યા હતા. ચીનનો આ ઈતિહાસ તેમના માટે એક પારિવારિક જખમ હતો. એથી વધુ વક્રતા એ છે કે વર્તમાન પ્રમુખ શી જીન પિંગના પિતાએ પણ આ ક્રાંતિમાં ઘણું વેઠ્યું હતું.

ગાઓ ઝેનનું શિલ્પ – Execution of Christ
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીઆ ઘટનાનો સૌથી મહત્ત્વનો પ્રશ્ન કાનૂની છે. કોઈ પણ કલાકારને એવા કૃત્ય માટે કાનૂની સજા કરી શકાય ખરી કે જે એ કૃત્ય થયું ત્યારે અસ્તિત્ત્વમાં જ નહોતો? અને આ કૃત્ય કંઈ વિધ્વંસાત્મક નહીં, પણ શિલ્પ જેવું સર્જનાત્મક હોય ત્યારે તો ખાસ! સીધી અને સાદી વાત એટલી છે કે કાયદો ભૂતકાળને પોતાની અનુકૂળતા મુજબ બદલવા લાગે, તો તે ન્યાયનું નહીં, પણ સત્તાનું સાધન બની જાય છે.
કળાની ખાસિયત એ છે કે સત્તાવાર દસ્તાવેજો કરતાં કળા દ્વારા વ્યક્ત થતા સત્યની અનુભૂતિ અને ઊંડાણ અનેક ગણાં વધુ હોય છે. ઇતિહાસકાર આંકડા કે તથ્યો મૂકીને ઘટનાનો હિસાબ આપે છે; જ્યારે કલાકાર ઈતિહાસના ઘાની અનુભૂતિ કરાવે છે. સરમુખત્યારો હોય કે લોકશાહીમાં શાસન કરતા સરમુખત્યારશાહી માનસ ધરાવતા શાસકો હોય, તેમને પુસ્તકો, કાર્ટૂન કે તથ્ય ઉજાગર કરતાં માધ્યમો કે લોકો નાપસંદ હોય છે.
ગાઓ ઝેન્ગને હજી કશી સજા ફરમાવાઈ નથી, પણ તેઓ હજી કેદમાં જ છે. તેમને મુક્ત કરવા માટે માંગ થઈ રહી છે. મૂળ સવાલ એ છે કે શું રાજ્ય પોતાના નાગરિકોને શું યાદ રાખવું અને શું ભૂલી જવું તેની ફરજ પાડી શકે? સ્મૃતિ પર અધિકાર કોનો? રાજ્યનો કે સમાજનો? લોકોના અનુભવ અને સ્મૃતિને કાયદાથી નિયંત્રિત કરી શકાય ખરાં?
એમ માનવાની જરૂર નથી કે આ સવાલ કેવળ એક કલાકારની સ્વતંત્રતાનો છે. આજે નિશાન પર એક કલાકાર છે; આવતી કાલે કોઈ ઇતિહાસકાર, લેખક કે સામાન્ય નાગરિક પણ હોઈ શકે. કારણ કે પોતાના નાગરિકોને શું યાદ રાખવું અને શું ભૂલી જવું તે રાજ્ય નક્કી કરવા લાગે, ત્યારે પ્રશ્ન એક વ્યક્તિ પૂરતો રહેતો નથી; સમગ્ર સમાજની વિચારશક્તિનો બની જાય છે.
શું ચીન કે શું ભારત, મૂળ વાત એ છે કે દરેક સમાજ પોતાના ગૌરવને હોંશે હોંશે અપનાવી લે છે, પણ તેની સાચી કસોટી એ છે કે તે પોતાની ગ્લાનિ સાથે કેવી રીતે જીવે છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૬-૭– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
અબ્દુલચાચા
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર

લગભગ ૬૦ ઉપરાંત વર્ષ પછી અબ્દુલચાચાના દીકરા ફરીદભાઈનો સંપર્ક થયો, તે પણ ફોન પર. મારું અને ગામનું નામ આપીને મેં પૂછ્યું કે મને ઓળખો છો? જવાબમાં તેમણે કહ્યું. “કેમ ના ઓળખું ? તું વિજુકાકાનો બીજા નંબરનો દીકરો. તને જનોઇ દીધી અને બડવો દોડાવ્યો હતો એ બધું જ મને યાદ છે” આ ઉપરાંત બાળપણના બીજા સ્મરણોની વાત થઈ અને હું એ ૬૦ વર્ષ પહેલાનાં એ દિવસોમાં સરી પડ્યો.
એ સમયે મારી ઉંમર છ સાત વર્ષની. આઝાદી આવ્યાને દશકો પૂરો થવા આવ્યો હતો. છતાં લોકોમાં રાષ્ટ્રીય પર્વો પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણીનો ઉત્સાહ ઓસર્યો ન હતો. તેં દિવસે શાળાઓમાં ધ્વજવંદન થતા અને ત્યાર પછી પ્રભાતફેરી પણ કાઢવામાં આવતી. મારા ગામ ધોlલેરામાં પ્રભાતફેરીના છેલ્લો મુકામ ગામનું પોલીસ સ્ટેશન હતું. ત્યાં કરવામાં આવતા ધ્વજવંદનમાં પોલીસ કર્મચારીઓ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ગામના આગેવાનો પણ જોડાતા.
આઝાદીના આ ઉલ્લાસ છતાં દેશના ભાગલા સમયે સાંભળેલી કોમી રમખાણોની વાતો લોકોના માનસમાં તાજી હતી. બધા ગામડાંઓની જેમ અમારા ગામમાં પણ કોમી સંવાદિતા ભલે જળવાઇ રહી હોય, પરંતુ સદીઓ પુરાણો મુસ્લિમો પ્રત્યેનો પૂર્વગ્રહ તો હાજર જ હતો. આજુબાજુના લોકોની વાત પરથી મુસલમાન એટલે માંસમટન ખાનારા અને દયા વિનાના ક્રુર એવો જ ખ્યાલ હતો. અફવાઓ એવી સાંભળવામાં આવતી કે મોટા શહેરોમાં મુસલમાનો છરો લઈને જ ફરતા હોય છે અને રસ્તા પર પસાર થતા દરેક જણને પૂછે કે હિંદુ કે મુસલમાન? જો જવાબમાં હિંદુ કહેવામાં આવે તો તરત જ છરો મારી દેવામાં આવે છે!
પરંતુ એક દિવસે જ્યારે મારી જાણમાં આવ્યું કે ‘અબ્દુલ’ નામ મુસલમાનનું હોય છે ત્યારે મને તીવ્ર આઘાત લાગ્યો. હું માની જ ન શકું કે મારી શેરીમાં જ રહેતા અબ્દુલચાચા મુસલમાન છે. પછી મોટેરાઓને પૂછતા તેમણે પણ કહ્યું કે ચાચા ખરેખર મુસલમાન છે. પરંતુ મારા માનસમાં ગોઠવવમાં આવેલી મુસલમાનની છબીમાં અબ્દુલચાચા બંધબેસતા ન હતા
ચાચા ધોલેરાની પોસ્ટ ઓફિસમાં ટપાલી હતા. મેં તેમને ક્યારેય પણ ટપાલીના ખાખી યુનિફોર્મ વિના જોયાનું યાદ નથી. ગામમાં તેમનાથી નાના હોય કે મોટા દરેક તેમને ચાચા કહીને જ બોલાવતા. અમારી શેરીમાં જ તેઓ સ્વામિનારાયણ મંદિરનાં એક મકાનમાં ભાડે રહેતા! (આ વાક્યને અંતે આશ્ચર્ય વિરામ એટલા માટે મૂક્યું છે કે મંદિરમસ્જિદના ઝઘડામાં જ ઉછરેલી આજની પેઢી કેવી રીતે માને કે કોઇ મંદિરનું મકાન એક મુસલામાનને ભાડે આપી શકાય?)
ચાચાને બે દીકરા. મોટા દીકરાનું નામ મહમદ અને નાનાનું નામ ફરીદ. આ ઉપરાંત ચાર દીકરીઓ પણ હતી. મહમદભાઈનો ખાસ પરિચય નહિ પણ મારાથી એક વર્ષ આગળ ભણતા ફરીદભાઈનો ખાસ્સો એવો પરિચય. સાથે રમતા અને હોળી ધૂળેટીમાં તો ફરીદભાઈ અમારી શેરીના છોકરાઓના આગેવાન રહેતા. પરંતુ જ્યારે મોજ આવે ત્યારે “ઊઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રેન કહાં તુ સોવત હે” એ કવિતા ગાવા લાગે. તે વખતના તેમના ચહેરા પરના ભાવ આજે પણ મને યાદ છે.
પરંતુ મારે વાત તો કરવી છે અબદુલચાચાની. ચાચાએ સતત બત્રીસ વર્ષ ધોલેરામાં જ ટપાલી તરીકે નોકરી કરી. નોકરી પણ એ રીતે કરી કે ગામના અબાલવૃદ્ધ સૌનાં હૃદયમાં વસી ગયા. સવારે દસ વાગ્યાથી જ ચાચાની કામગીરી શરૂ થાય અને અગિયાર વાગ્યાની બસ ટપાલ લઈને ધંધુકાથી આવે તે પહેલા જ બસ સ્ટેન્ડે પહોંચી ગયા હોય ને બસ આવે ત્યારે બસમાંથી ટપાલનો ભારે થેલો ઉતાર્યા પછી ઊંચકીને પોસ્ટ ઓફિસે પહોંચી જાય. પહોંચ્યા પછી તરત જ ટપાલનાં સોર્ટિંગમાં લાગી જાય. બપોરના દોઢબે વાગવાનો સમય થાય ત્યારે આગલા દિવસથી આવેલી ટપલો એક્ઠી કરીને થેલામાં પેક કરીને અઢી વાગ્યની બસમાં ચડાવી દે. ત્યાર બાદ ટપાલોના સોર્ટિંગનું અધુરું કામ પૂરું કરે ત્યાં તો સમય થાય વિન્ડો ડોલિવરીનો.
જેમણે પણ ધૂમકેતુની ‘પોસ્ટઓફિસ’ વાર્તા વાંચી હશે તેમને ‘ વિન્ડો ડિલવરી’ નો ખ્યાલ હશે જ. અહીં ટપાલ લેવા કોઈ કોચમેન અલીડોસા આવતા નહિ, પરંતુ કદાચ આવ્યા હોત તો તેમની મજાક ન થઈ હોત. ચાચા એમને પ્રેમથી પોસ્ટ ઓફિસની અંદર બોલાવીને કહેતા, “મારું મન કહે છે કે આપની મરિયમ કુશળ છે. તેનો પત્ર આવશે તો હું તરત જ આપના ઘરે આવીને પહોંચાડી દઈશ.”
વિન્ડો ડિલિવરીના સમય પહેલા જ પોસ્ટ ઓફિસે પહોંચી ગયેલા કેટલાક દુકાનદારો કે તેમના ગુમાસ્તાઓ, શાળા અને સરાકારી ઓફિસોના પટાવાળાઓ વગેરે પોસ્ટ ઓફિસની બહાર આવેલા ઓટલા પર અને તેની આજુબાજુ ટોળે વળીને વાતો કરતા કે અંદરોઅંદર મજાક મશ્કરી કરતા. એ સમયે જો અંદર ટકટક કરતું તારનું મશીન કોઈ તાર ઉતારતું હોય તો તારમાસ્તરને ખલેલ પહોંચવાની શકયતા ઊભી થાય. આ સમયે ચાચા ઓફિસની બહાર આવી જાય. તેમને બહાર આવેલા જોતાની સાથે જે શાંતિ પથરાઈ જતી એમાં ચાચા પ્રત્યેનાં સન્માનનો પ્રભાવ જણાઇ આવતો.
વિન્ડો ડિલિવરીનો દોર શરૂ થાય ત્યારે વેપારી પેઢીના માણસો પેઢીના નામો અને ઓફિસોના પટાવાળાઓ ઓફિસના નામો બોલવા લાગે જો તેમની ટપાલ હોય તો ચાચા રાજીપાના ભાવ સાથે છેએએએ..એમ લંબાણથી બોલે અને જો ન તો હોય તો દિલગીરીના ભાવ સાથે નથીઇઇઇ….એમ લંબાવીને જવાબ આપે.
આ પછી જ્યારે ચાચા ગામમાં ટપાલ વહેંચવા નીકળે ત્યારે અમે નિશાળેથી છૂટીને દક્તર(અમે દફ્તરને દક્તર જ કહેતા) ઘરમાં ફેંકીને તરત જ શેરીમાં રમવા નીકળી પડેલા હોઇએ. ચાચાને જોઈને દરેક છોકરો પૂછે ”અમારી ટપાલ છે?” “અમારી ટપાલ છે?” ચાચા દરેકે દરેકને એક સરખો પ્રેમપૂર્વક જવાબ આપે “નથી બાબા”. અમને ટપાલમાં તો કોઇ રસ નહોતો, પરંતુ ચાચા પ્રેમપૂર્વક જે ‘નથી બાબા’ બોલતા એ સાંભળવામાં આનંદ આવતો.
ચાચા કદી કોઈનાં ઘરમાં ટપાલ ફેંકીને જતા ન રહે, પરંતુ તેના નામની બૂમ પાડે અને ઘરમાંથી કોઇ ટપાલ લેવા આવે તો તેના હાથમાં આપે. અને જો ઘેર કોઈ ન હોય તો જ ટપાલ ઘરમાં નાખે.
ટપાલ વહેંચવા નીકળે ત્યારે તેમની એકસરખી ચાલમાં અવરોધ ત્યારે જ આવતો જ્યારે તેઓ રસ્તા પર કોઇ પથ્થર કે ઇંટને જુએ. એ જોતાવેંત જ કોઇને ઠેસ ન વાગે તેવી જગ્યાએ પથ્થર કે ઇંટને બાજુ પર મૂકી દેતા તેમને ગામલોકોએ અનેકવાર જોયા છે. એ જ રીતે ગામની બજારમાં નીકળે ત્યારે કોઇ વેપારી તેમને કહે કે ચાચા આ વસ્તુ મારા ઘરે પહોંચાડી દેશો તો ચાચા જરા પણ આનાકાની વિના તે વસ્તુ લઈને જે તે શેરીમાં ટપાલ વહેંચવા જાય ત્યારે ચીવટપૂર્વક પહોંચાડી આપે.
ચાચાને મેં કોઇની સાથે વાતો કરતા કદી જોયા નથી, પરંતુ તેઓ ગામના અબાલવૃદ્ધ સૌને ઓળખે. એ સમયે વોટ્સેપ ન હતું. આથી કોઇ દીકરીનું નવું નવું સગપણ થયું હોય ત્યારે મૂરતિયા તરફથી સંદેશો પહોચાડવાનું સાધન તો ટપાલનું પરબિડીયું જ હતું. ચાચા કોઇ પરબિડીયા પરના સરનામામાં દીકરીનું નામ જુએ તો તેમને ખ્યાલ આવી જાય કે આ દીકરીનું તાજેતરમાં સગપણ થયું હશે. એ સમય એવો હતો કે જો ઘરની વડીલ વ્યક્તિના દેખતા એ દીકરીને ટપાલ આપે તો દીકરીઓ ખૂબ શરમ અને સંકોચ અનુભવતી. ચાચા આ બાબતનો બરાબર ખ્યાલ રાખીને દીકરી એકલી હોય ત્યારે જ ટપાલ આપે અથવા તેની બહેનપણી કે ભાભીને એ ટપાલ દીકરીને પહોંચાડવા આપે! આજે 70 વર્ષથી ઉપરની ઉંમરની ધોલેરાની કોઇપણ દીકરીને અબ્દુલચાચા વિશે પૂછો તો તેઓ ચાચાને સૌ પ્રથમ આ પ્રકારે જ યાદ કરશે.
અવસાનનો તાર કે અશુભ લખેલો કાગળ કોઇના પર આવ્યો તો ચાચા કદી જે તે વ્યક્તિને ન આપે, પરંતુ પડોશી કે ખાસ સબંધીને આપે અને પછી જે તે પડોશી કે સબંધી મૂળ વ્યક્તિને ઓછામાં ઓછો આઘાત લાગે તે રીતે સમજાવીને આપે. આમ ચાચાને મન ટપાલ એ નિર્જીવ કાગળ ન હતો પણ તેમાં તેમને માણસનો ચહેરો દેખાતો.
ગામના લોકોનો તો ચાચા પ્રત્યેનો આદર હતો જ ઉપરાંત પોસ્ટ ખાતાના ઉપરના અધિકારીઓ સુધી તેમની સુવાસ પહોંચેલી હોવાથી તેઓ પણ ચાચાને આદર આપતા. કોઈ પોસ્ટમાસ્તર બદલી થઈને નવાસવા આવે તો જરૂર જણાયે ચાચા તેમને ખૂબ વિનમ્રપણે માર્ગદર્શન આપતા.
તે વખતમાં દિવાળી ટાણે ટપાલીઓ દુકાને દુકાને અને ઘેરઘેર ફરીને દિવાળીની બોણી ઉઘરાવતા. બહોળો પરિવાર અને ટૂંકો પગાર છતાં અબ્દુલચાચાએ કદી પણ દિવાળીની કે બીજી કોઇ બોણી માટે હાથ લાંબો ન કર્યો.
વર્ષ આવ્યું ૧૯૭૧નું અને ગામલોકોને જાણ થઈ કે ચાચા નિવૃત થાય છે. સામાન્ય રીતે કોઇ ઓફિસનો કોઈ કર્મચારી નિવૃત થાય તો તેના સહકર્મચારીઓ નાનકડો વિદાય સમારંભ યોજીને સન્માનમાં કશીક ભેટ આપીને વિદાયમાન આપે.. પરંતુ અબ્દુલ ચાચાનો પોસ્ટમેન તરીકે નિવૃતિનો સમય થયો ત્યારે એક વેપારીએ ગામની બજારમાં મૂકાયેલા એક કાળા પાટિયા પર આ પ્રમાણે લખ્યું. “અબ્દુલચાચા નિવૃત થાય છે. જેમણે પણ તેમને ભેટ આપવી હોય તે મારી દુકાને રકમ આપીને પહોંચ લઈ લે. આ માટે કોઇનો વ્યક્તિગત સંપર્ક સાધવામાં નહિ આવે.” આમ છતાં ગામના વેપારીઓ નાનામોટા નોકરિયાતો સહિત અનેક લોકોએ પોતાની શક્તિ પ્રમાણે રકમ ક્યારેક તો લાઇનમાં ઊભા રહીને પણ આપી.
ચાચાનો વિદાય સન્માન સમારંભ ગામના સ્થાનકવાસી જૈન સંઘના એક સભાગૃહમાં યોજાયો. ખૂબ મોટી સંખ્યામાં ગામલોકોએ તેમાં હાજરી આપી એટલું જ નહિ અમદાવાદથી ખુદ પોસ્ટમાસ્તર જનરલ પણ હાજર રહ્યા. દૂરના એક અંતરિયાળ ગામના ટપાલીના વિદાય સમારંભમાં જિલ્લાનો પોસ્ટખાતાનો સૌથી વડો અધિકારી હાજરી આપે તે ઘટના પોસ્ટ ખાતાના ઇતિહાસમાં અભૂતપૂર્વ હતી. આના પરથી જ ચાચાની કામગીરી અને લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય. આ સમારંભમાં ગામના નાનામોટા વેપારી આગેવનો, નોકરિયાતો અને વિદ્યાર્થીએ પણ લાગણીસભર પ્રવચન કર્યા. ગામલોકો દ્વારા ઉઘરાવાયેલી ભેટ (તેને થેલી કહેવાતી) પોસ્ટમાસ્તરના હસ્તે ચાચાને અર્પણ કરવામાં આવી. થેલી અર્પણ કરતાની સાથે પોસ્ત માસ્તર જનરલે ચાચાને વંદન સાથે પોતાના વક્તવ્યમાં કહ્યું કે મારા હાથ કાયદાથી બંધાયેલા છે, નહિ તો હું ચાચાને ચોક્કસ એક્ષ્સ્ટેન્શન આપતો.
ચાચા પોતાના કામ અને ધોલેરા ગામ સાથે એટલા ઓતપ્રોત થયેલા કે ગામલોકોને ધોલેરા સિવાય ચાચાનું વતન બીજું હોઇ શકે એવી કલ્પના પણ ન હતી. પરંતુ નિવૃત થયા પછીના થોડા જ સમયમાં જ્યારે ચાચાએ પોતાના વતન જવાની તૈયારી કરી ત્યારે જ ઘણાખરાને જાણ થઈ કે ચાચાનું વતન તો પંચમહાલ જિલ્લાનું ઝાલોદ ગામ છે. ઝાલોદ જવા નીકળ્યા ત્યારે ગામના અનેક લોકો તેમને વળાવવા માટે આવ્યા અને તે સમયે જે લાગણીસભર દૃશ્ય સર્જાયું તે આજે પણ સ્મરણમાં છે.
ઝાલોદમાં અબ્દુલચાચાએ તેમના અવસાન સુધીનો નિવૃતિનો સમય પરિવાર સાથે ખૂબ શાંતિથી પસાર કર્યો. ફરીદભાઇએ કહ્યા મુજબ ચાચાના પરિવારના દીકરાદીકરીઓ, પૌત્રપૌત્રીઓ આજે ખૂબ જ સુખી છે. તેઓ આને તેમના પિતાશ્રી અબદુલચાચાનો પુણ્યપ્રતાપ કહે છે. એ જે પણ કાંઈ હોય, પરંતુ મને બાળપણમાં જે સમજાતું ન હતુ તે સમજાઈ ગયું કે ચાચા માત્ર મુસલમાન જ નહિ પરંતુ સાચા મુસલમાન હતા. કારણ કે ચાચા ખૂબ પ્રમાણિક, નીતિ પરાયણ, કર્તવ્યનિષ્ઠ, સ્વાશ્રયી અને નિર્વ્યસની એવા ખુદના બંદા હતા. જો કે તેમને નમાજ પઢવાની જરૂર ન હતી કારણ કે તેમની કાર્યનિષ્ઠા જ બંદગી હતી. છતાં આ અંગે ફરીદભાઇને પૂછતા તેમણે જણાવ્યું કે ચાચા નમાજ પણ પઢતા, પણ કામના સમયે નહિ પરંતુ રાત્રે બધા જ પ્રહરની નમાજ સાથે પઢતા.
( ચાચાના પૌત્ર ઈબ્રાહીમભાઈ પાસે મેં ચાચાની તસવીરની માંગણી કરી તો તેમણે સત્વરે મોકલી આપી. એ તસવીર ઘણી જૂની છે અને સ્પષ્ટ જોઇ શકાતી નથી. તેથી એ સાથે AIની મદદથી મૂળ તસવીરની સાથે બીજી સ્પષ્ટ જોઇ શકાય તેવી તસવીર પણ મૂકી છે. ઇબ્રાહીમભાઈનો ખૂબ આભાર. સાથે ચાચા વિશેના મારા સ્મરણોની ખરાઇ કરવા બાબતે ફરીદભાઈ અને ધોલેરા ગામના અનેક વડીલોનો આભાર માનું છું.)
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ઊર્ધ્વ ચેતનાનાં આરોહી : માતાજી [૧]
દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
ભારતના મહાન જ્ઞાનપુરુષ શંકરાચાર્યે મનુષ્યનાં ત્રણ પ્રકારનાં ભાગ્ય ગણાવ્યાં છેઃ
दुर्लभं त्रयमेवैतत् देवानुग्रहहेतुकम् ।
मनुष्यत्वं मुमुक्षुत्वं महापुरुषसंश्रयः॥અર્થાત્ મનુષ્યત્વ, મુક્તિ માટેની ઉત્કટ અભિલાષા અને કોઈ મહાત્માનો આશ્રય પ્રાપ્ત થવો – આ ત્રણેય દુષ્પ્રાપ્ય જ છે. અને જ્યાં પણ તે જોવા મળે છે, ત્યાં સમજવું જોઇએ કે એ કેવળ ઈશ્વરની કૃપાના કારણે છે.
મનુષ્યને જ ઇચ્છાઓ જાગતી હોય છે. તેને પૂરી કરવાની આવડત પણ તેનામાં જાગી જતી હોય છે. પણ આ ઇચ્છાઓ સામાન્યત: વાસનાની કોટિએ જ રહી જતી હોય છે. ધનપ્રાપ્તિ, કીર્તિ, દરજ્જો જેવી ભૌતિક ઇચ્છાઓમાં જ અટવાયેલો મનુષ્ય જીવનનું ઊર્ધીકરણ કરવાને માટે ખાસ ઇચ્છુક હોતો નથી. હજારોમાં કોઈ એકાદને જ આવી ઇચ્છા જાગે છે. કોઈક તત્ત્વની શોધ, જેનાથી પોતે છૂટો પડી ગયો છે એ અનંત તત્ત્વની અભીપ્સા માની લઈએ કે જાગે છે ત્યારે પણ આ થઈ રહ્યું છે તેની એવા લોકોને સમજ પડતી નથી. એ સમજ ત્યારે જ પડે છે જ્યારે એ અનંત તત્ત્વને પામીને બેઠેલું કોઈ નીવડેલું વ્યક્તિત્વ આ અભીપ્સુ આત્માનો હાથ પકડીને તેને યોગ્ય માર્ગે દોરે. સદ્ભાગ્યનાં આ ત્રણ પગથિયાં છે. ત્રણેયમાં ક્રમ ચઢતો ચઢતો અંતે પરાકાષ્ઠાને પામે છે. મુક્તિ માટેની અભિલાષા ને મહાપુરુષનો સંશ્રય અચાનક જ ઘટી કે છટકી પણ જતો હોય છે. તેને માટે કરવામાં આવત અપ્રયત્નોથી એ હાથ લાગતો નથી હોતો. આથી જ આચાર્ય શંકર જેવી તાર્કિક વ્યક્તિ એમાં એમાં ઈશ્વરનો અનુગ્રહ જુએ છે. આ ઘટનાઓ દેશ-કાળથી પર છે કેમકે વિરાટ સ્વરૂપે સ્વરૂપે ફેલાયેલું ચૈતન્ય ક્યારે, ક્યાંથી પ્રગટે એ કહેવું મુશ્કેલ હોય છે. આ ત્રણેય વસ્તુઓનું સંયોજન થઈ જતું હોય છે. બહારથી એ અચાનક છે પણ આતરિક રીતે જોતાં ધીમે ધીમે એની ભૂમિકા રચાતી જતી હોય છે.
ભારત દેશ અને હિન્દુ ધર્મ આમ તો સતત પરદેશી પ્રજાઓથી સતત દબાયેલા જણાય હે. પણ ભારતની આધ્યાત્મિક ખોજ અટલી તો પ્રબળ ઊણ્ચાઇ પર રહેલી છે કે કે જગતભરમાં લોકો ભારતીય ચિંતનનાં વૈચારિક ઉંડાણથી આકર્ષાયાં છે. તે માંયે ખાસ કરીને પાશ્ચાત્ય દેશોની મહિલાઓને ભારતીય ચિંતન વધારે આક્ર્ષી ગયું છે. ત્યાં સુધી કે આ મહિલાઓએ પોતાનાં સુખી જીવન ત્યાગીને ભારતને પોતાની સાધનાભૂમિ તેમ જ કર્મભૂમિ તરીક પસંદ કરીને ભારતીય થવામં શાંતિ અને ગૌરવ અનુભવ્યાં છે. સિસ્ટર નિવેદિતા, મેડલીન સ્લેડ, શ્રી માતાજી, એની બેસંન્ટ, સોફિયા વાડિયા વગેરે જેવી મહાન મહિલાઓએ ભારતને ભૂમિ બનાવીને, આત્મકલ્યાણનું માધ્યમ બનાવ્યું. આ સ્ત્રીઓની આ પ્રકારની નિયતિ હતી, જેને આચાર્ય શંકરે ઈશ્વરકૃપા એવું નામ આપ્યું.આ સૌ મહિલાઓમાં માતાજીનું વ્યક્તિત્વ ઘણી રીતે જુદું પડે તેવું છે. નાનપણથી જ તેમના જીવનની આસપાસ રહસ્યનું આભામંડળ ફેલાયેલું છે. મેડલીન સ્લેડ કે માર્ગરેટ નોબલની જેમ તેમને કોઈ આધ્યાત્મિક બેચેનીમાંથી પસાર થવું પડ્યું નથી. એક પ્રકારની ઊંચાઈ સાથે જ તેમનો જન્મ થયો છે. આમ, તેમની આધ્યાત્મિકતા જન્મજાત છે.

બાલ્ય વયે – મીરા આલ્ફાસ્સા મીરા આલ્ફાસ્સા તરીકે ઈ.સ. ૧૮૭૮ની ફેબ્રુઆરીની ૨૧ તારીખે જન્મેલાં માતાજીના પિતા ધનવાન બેન્કર હતા. બાલ્યાવસ્થામાં તેમને ખૂબ જ સુખ-સાધનો સાંપડેલાં. પાંચમા વર્ષથી જ તેમનું રહસ્યમય (mystic) વ્યક્તિત્વ જુદું તરી આવતું. તેમને માટે બનાવેલી ખુરશીમાં બેસીને તેઓ ઊંડા ધ્યાનમાં ઊતરી જતાં. તેમની ગંભીરતા તેમની ઉંમરને માટે યોગ્ય નહોતી. આથી તેમનાં બુદ્ધિવાદી માતા અકળાઈને તેમને પૂછતાં, “અરે, તું આવું ભારેખમ મોઢું કરીને કેમ બેસે છે ? શું આખી દુનિયાનો ભાર તારા ઉપર છે ?’ ત્યારે નાની મીરાં કહેતી : ‘હા, આખી દુનિયાનું દુ:ખ મારા પર ઊતરી રહ્યું હોય તેવું મને જણાય છે.’
ચેતનાની આ વિશાળતા મીરાએ બાળપણથી જ અનુભવી. તેમની અંદર રહેલો પ્રજ્ઞાપ્રકાશ જીવનભર તેમને દોરતો રહ્યો. તેઓ નોંધે છે તેમ : “હુ પાંચ વર્ષની હતી પરથી માંડીને પૃથ્વી ઉપરનાં મારાં છેલ્લાં ૮૬ વર્ષ દરમિયાન હું એને હંમેશા જોતી રહી છું. મારું જીવન મેં એ પ્રમાણે ગાળેલું છે, એ મારો માર્ગદર્શક પ્રકાશ રહેલો છે.’
આ વસ્તુ દર્શાવે છે તેમ માતાજીને નાનપણથી જ એક પ્રકારનુ આત્મદર્શન પ્રાપ્ત થયેલું છે. તે માટે તેમને કોઈ ગુરુની જરૂર પડી નથી. આ પ્રકારના દર્શનનો લાભ દુનિયાને કઈ રીતે આપવો તેના આયોજન માટે જ જીવનમાં બે ગુરુજનો, શ્રી થેયાઁ અને મહર્ષ અરવિંદ,નું આગમન થયેલું છે. પણ એક રીતે જોતાં આ બન્ને મહાપુરુષો માતાજીના સમાનધર્મા જ છે. માતાજી એ બન્નેની મદદ લઈને પોતા ઉપર ઉતરી આવેલા દુનિયાના દુઃખોને હળવું કરવાનો જીવનધર્મ બજાવેલો છે. આથી જ જીવનમાં શું કરવું જેથી આત્મકલ્યાણની સાથે સાથે લોકકલ્યાણ થાય એવો પશ્ન માતાજીને જાગ્યો નથી. કોઈક અસાધારણ શક્તિને લઈને તેઓ સિદ્ધ યોગિનીનાં સ્વરૂપમાં પ્રાદુર્ભાવ પામેલાં છે. તેમને સાંપડેલો પ્રકાશ તેમને ક્યાં લઈ જાય છે એ તેમણે તદ્દન તટસ્થ રહીને જોયું છે. જીવનનું કેન્દ્રબિંદુ પહેલેથી જ સુલભ બન્યું છે. એ બિન્દુએ તેમના જીવનપ્રવાહને જ્યાં જ્યાં વહેવડાવ્યો ત્યાં તેઓ વહ્યાં. તેમનું આ વહેવું સૌને માટે કલ્યાણપ્રદ બન્યું. આ ઘટનાને ચમત્કાર પણ કહી શકાય, સિદ્ધિ પણ કહી શકાય. તેમને પોતાને તો આ બધું એટલું સહજ લાગ્યું છે કે તેમણે પોતાના જીવનમાં બનેલી ઘટનાઓને ચમત્કાર તરીકે જોઈ પણ નથી, અને ઘટાવી પણ નથી. માત્ર અનાયાસે જે મળ્યું તેનો તેમણે પૂરો ઉપયોગ કરી લીધો છે.
માતાજીના આ વિશિષ્ટ ગુણલક્ષણોએ કરીને તેમનાં મિત્રવર્તુળે તેમનું નાં ‘સ્ફિંક્સ’ પાડેલું. આ ગ્રીક શબ્દનો અર્થ થાય છે રહાસ્યમયી રમણી તેમના વ્યક્તિતવં કંઇક એવું હતું જેનાથી સૌ કોઈ તેમના તરફ આકર્ષાતું હતું છતાં તેમને પામી શકતું નહોતું. ચાર વર્ષની બાળકી મીરા ધ્યાન ધરતી ! અનેક પ્રકારનાં તેજોવર્તુળનાં દર્શન કરતી. નિદ્રાવસ્થામાં અનેક ગુરુઓ પાસેથી માર્ગદર્શન પામતી ! ધ્યાનમાં એક વાર હિંદુ ધર્મના અવતાર શ્રીકૃષ્ણનાં દર્શન પણ કરેલાં. જોકે એ સમયે બાળકી મીરા એમના વિશે કશું જાણતી નહોતી. પાછળથી તેમની એ શોધ પુરી થયેલી. તેમને થયેલાં દર્શન સ્થળકાળથી પર હતાં કેમકે સમગ્ર માનવજાતનું કલ્યાણ એ જ એમનું ધ્યેય હતું. સ્થળ-કાળ-ચેતના પ્રત્યેની તેમની આ નિરપેક્ષતાએ કરીને એ જ વૃક્ષો સાથે,પ્રાણીચેતના સાથે ને અંતે મહાન ગુરુઓની ચેતના સાથે અદ્વૈત સાધ્યું.આ પરતી જણાય છે તેમ લોકકલ્યાણ જ તેમનો હેતુ નહોતો, પદાર્થમાત્રની ચેતના સાથે એકતા અનુભવવાની એમની મહેચ્છાએ તેમને પદાર્થમાત્રનાં કલ્યાણી બનાવ્યાં. પથ્થરમાં પણ પ્રાણતત્ત્વ રહેલું છે એવો સિદ્ધાંત જૈન ધર્મે તો પતીતિ સાથે આપેલો જ છે. એ સિદ્ધાંત પર માતાજીએ અનેક પ્રયોગો કર્યા.
જપાનમાં માતાજીને ચેરીના વૃક્ષ સાથે અદ્વૈત અનુભવાયું. એ ચેરીના વૃક્ષની નીચે ધ્યાનમાં બેઠેલાં માતાજીએ પોતાનો અનુભવ નોંધતાં જણાવ્યુંઃ મેં જોયું કે વૃક્ષના પુષ્પ સાથે હું એકરૂપ બની રહી છું, પછી એ પુષ્પોની એકરૂપતાએ કારણે દ્વારા હું બધાં યે ચેરીનાં પુષ્પો સાથે એકરૂપ બનવા લાગી છું. અને પછી એક નીલરંગની શક્તિના પ્રવાહની પાછળ ચાલતાં ચાલતાં હું ચેતનામાં જેમ જેમ વધુ ઊંડે ઊતરતી ગઈ તેમ તેમ એકાએક ચેરી વૃક્ષ બની ગઈ… મનુષ્યના અને વૃક્ષના શરીર વચ્ચે શો ભેદ છે? વાસ્તવમાં કશો જ નહીં. બંગેની પાછળ ધબકી રહેલી ચેતના એક જ છે.’
વૃક્ષ પછી એક બિલાડી ઉપર પણ માતાજીએ તેની ચેતનાને અકાવાનો પ્રયોગ કરેલો. તેઓ આ અંગે નોંધે છે : ‘હું એક પ્રકારનો પ્રયોગ કરવા સારુ બિલાડીઓમાં રસ લેતી હતી. એને જો તમારે કહેવું હોય તો, એક પ્રકારની ઊલટી દિશામાંનો જન્માંતર કહી શકાય. એટલે કે મારે એ જોવું હતું કે પ્રાણીઓ જો તેમના હવે પછીના જન્મમાં માનવદેહમાં પ્રવેશવા માટે તૈયાર હોય તો એમનો પ્રાણી તરીકેનો છેલ્લો જન્મ હતો કે કેમ ! મારો પ્રયોગ સંપૂર્ણપણે સફળ થયેલો. મારી પાસે તદ્દન ખાતરીલાયક એવા ત્રણ દાખલાઓ બનેલા જેમાં તે પ્રાણીઓનો ચૈત્ય પુરુષ એટલા પ્રમાણમાં વિકસિત થયેલો હતો કે જેથી તેઓ માનવદેહમાં પ્રવેશી શકે.’
આ જ રીતે આગળ જઈને માતાજીએ ઇચ્છ્યું કે માનવીની ચેતનાનો વિકાસ થાય તો છેવટે મનુષ્ય-યોનિમાંથી પણ મુક્તિ મળે. મનુષ્ય-યોનિમાંથી મુક્તિ એટલે મૂળ સ્વરૂપ સાથેનું જોડાણ. માતાજી જેના માટે મથ્યાં તે તત્ત્વ આ હતું. આ પ્રકારની વાતો આજે પણ દરેકને ગ્રાહ્ય બને તેવી, સ્વાભાવિક રીતે જ ન હોય. એટલા માટે માતાજીએ પોતાનું દેખીતું સ્વરૂપ એક કલ્યાણની કામના કરતી સ્ત્રીનું, માતૃભાવે સૌને અનુકૂળ આવે એવું પથ્ય બનાવતી વ્યક્તિ તરીકેનું જ રાખ્યું. તેમને સમજયા હતા માત્ર મહર્ષિ અરવિંદ, જેમનાં દર્શન માતાજીએ બાલ્યાવસ્થામાં સ્વપ્નપ્રદેશમાં કરેલાં.
મહર્ષિ અરવિંદ સુધી પહોંચતાં પહેલાં સક્રિય આધ્યાત્મિકતા સિદ્ધ કરવા માટે માતાજીએ ગુહ્ય વિદ્યાનો પ્રદેશ ખેડ્યો. શરીરને, મનને મજબૂત કરવા માટે તેમણે સત્તાવીશ વર્ષની ઉમરે, ઈ.સ. ૧૯૦૫માં અલ્જેરિયામાં આવેલા ત્લેમએમ નગરમાં ગુહ્ય વિદ્યાના વિખ્યાત તજજ્ઞ એમ. થેયાઁ પાસે એ વિદ્યા શીખવા પ્રયાણ કર્યું. માતાજીના સ્વભાવ મુજબ આ વિદ્યામાં પણ ઊંડે સુધી જઈને તેમણે પ્રભુત્વ મેળવ્યું. શરીરમાંથી બહાર નીકળવું, દૂરથી વસ્તુઓને હલાવવી વગેરે જેવી બાબતો તેમને કરતાં આવડતી. પણ આ વિદ્યા તેમને માટે કંઈ પ્રદર્શનનો મુદ્દો નહોતી. તેમના ગુરુ શ્રી થેયાઁ તથા માતાજી પોતે પણ જાણતાં હતાં તેમ, આ પ્રકારનું જ્ઞાન માતાજીનું અંતિમ લક્ષ્ય નહોતું. તેમના ગુરુ ને ગુરુપત્નીને મતે એમની સાધનાની અંતિમ સિદ્ધિએ પહોંચાડવા માટે કોઈ બીજા ગુરુ તેમની રાહ જોતા હતા. ખુદ માતાજીને પણ ઈ.સ. ૧૯૦૭માં એવું જણાયેલું કે પોતે આ જગતમાં એક ઊર્ધ્વ પ્રકાશને નીચે લઈ આવવાને માટે અવતરેલાં છે.
જીવનની મહત્તમ સિદ્ધિ ચેતનાનું ઊર્ધ્વીકરણ કરવામાં રહેલી છે, ચમત્કાર કરવામાં નહિ એ વાતની ભેદરેખાને બરોબર પામી ચૂકેલાં માતાજીએ પોતાને મળેલી સિદ્ધિઓનું પણ અતિકમણ કર્યું અને નોંધ્યું : “… આપણે જેમ જેમ સત્યની નજીક જતાં જઈએ છીએ તેમ આપણને સર્વ પ્રકારના છળપ્રપંચ સામે, દંભ અને અસત્ય સામે રક્ષણ મળી આવે છે… અને એ રીતે જેને સાચી ગુહ્ય શક્તિ મળી આવેલી હોય છે તેને સાથે સાથે પોતાના આંતર સત્યના બળમાંથી દરેક રીતનાં જાદુ, કાળાં કે ઘોળા કે કોઈ પણ રંગના જાદુ નિર્મૂળ કરી દેવાની શક્તિ, એં સત્યનું માત્ર એક બિંદુ અડતાંવેત જ મળી આવે છે.’
માતાજીમાં રહેલી ગુહ્ય શક્તિનો તેમણે કોઈ ભેદભરમ જેવો, લોકોને આકર્ષતો ઉપયોગ ન કર્યો તેના મૂળમાં તેમનામાં રહેલી સત્યની શોધ ભણી આગળ ધપવાની અભીપ્સા હતી. સિદ્ધિ ને અધ્યાત્મ વચ્ચે આ પ્રકારની પરખ કરવાની શક્તિ યથાર્થ રૂપની આધ્યાત્મિક ચેતના ધરાવતી વ્યક્તિઓમાં જ હોય છે. આ પરખને કારણે જ માતાજીમાં રહેલો ચેતનાપ્રવાહ મહર્ષિ અરવિંદના ચેતનાપ્રવાહ સાથે સમન્વિત થઈ શક્યો. એમના ગુરુ શ્રી થેયાઁએ તેમનામાં પ્રેરેલી સમજ પણ તેમાં મોટા પ્રમાણમાં કારણભૂત બની. |
અધ્યાત્મજીવનમાં ઉત્તરોત્તર ઊંડાં ઊતરતાં માતાજીએ સંસાર વ્યવહાર ને અનરર્થ શોખોને પણ પોતાના જીવનમાં એક ઘટના તરીકે પ્રવેશ આપ્યો. ઓગણીસ વર્ષની વયે એન. મોરિસ્સે સાથે તેમનું લગ્ન થયું. પુત્ર આન્્દ્રેનો જન્મ પણ થયો. ઈ.સ. ૧૯૧૦ની આસપાસ મોરિસ્સે તેઓ છૂટાં પડ્યાં ને ફાન્સના જાણીતા અધ્યાત્મયાત્રી શ્રી પોલ રિશાર સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. બાળપણથી જ ચિત્ર, સંગીત – એ બે કલાઓમાં તેમને ખૂબ રસ હતો. આ બંનેમાં પારંગત બનીને રમતગમતના ક્ષેત્રમાં પણ રસ લીધો. આઠ વર્ષની ઉંમરે જ ટેનિસ પણ શીખેલાં ને સારા સારા ખેલાડીઓ સાથે રમેલાં. પણ જેમ ગુહ્ય વિદ્યા એ તેમનું અંતિમ લક્ષ્ય નહોતું તેમ આ બધું પણ તેમના માટે પ્રકીર્ણ બની રહ્યું. બીજો જ કોઈ અવાજ તેમને સંભળાઈ રહ્યો હતો.
તેમની ચેતના સતત એક પ્રકારનું આરોહણ અનુભવતી હતી. જે તેમની ઉંમરના પ્રમાણમાં ઘણું વધારે ઊંચું હતું. જોવાનું એ છે કે તેમને થતા વિવિધ અનુભવો તેમનામાં વિસ્મય જગવતા નહોતા પણ તેમને રાહ જોવાનું જ માત્ર યાદ કરાવતા હતા. તેઓએ નોંધ્યું છે : અગિયાર અને તેર વર્ષની વચ્ચે મને અનેક ચૈતસિક અને આધ્યાત્મિક અનુભૂતિઓ થતી રહેલી અને તેમાં મને જણાયેલું કે પ્રભુનું અસ્તિત્વ છે જ એટલું જ નહિ પણ મનુષ્ય પ્રભુને મળી શકે તેમ છે, ચેતનામાં અને ક્રિયામાં તેમને પૂર્ણ રીતે પ્રગટ કરી શકે છે, પૃથ્વી ઉપર એક દિવ્ય જીવનમાં તેમનો આવિર્ભાવ આપી શકે છે. મારું શરીર નિદ્રામાં હોય તે વખતે કેટલાક ગુરુઓ મને આ વસ્તુ સમજાવતા હતા તથા તેને સિદ્ધ કરવા માટેની વ્યવહારુ સાધના પણ શીખવતા હતા. એમાંના કેટલાકને તો મારે પછીથી સ્થૂળ ભૂમિકા ઉપર મળવાનું પણ બન્યું હતું. પછીથી આગળ જતાં, આંતરિક તેમ જ બાહ્ય વિકાસ થતો ગયો તેમ તેમ, આ ગુરૂઓમાંના એક ગુરુ સાથે મારો આધ્યાત્મિક તથા ચૈતસિક સંબંધ વધુ ને વધુ સ્પષ્ટ બનવા લાગ્યા અને અર્થસભર બની રહ્યો…’
ક્રમશઃ
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સ્મૃતિસંપદા – સપના વિજાપુરા : જિંદગીકા સફર [૨]
સુશ્રી સપના વિજાપુરાની જિંદગીની સફરનો પહેલો પડાવ આપણે ગતાંકમાં પાર કરી ગયાં.હવે આગળ ….
નવા જીવનનો આગાઝ!
પપ્પાએ ઇલોલ જવાનું નક્કી કર્યું. એ ૧૯૭૭નો એપ્રિલ મહિનો હતો. પપ્પા અમદાવાદની બસમાં બેસી ગયા. પપ્પા તે સમયે તંદુરસ્ત ના હતા. મને આજે નવાઈ લાગે છે કે પપ્પાએ આટલી લાંબી મુસાફરી શી રીતે કરી હશે! પણ દીકરીની ખાતર બિચારા નીકળી પડ્યા. અમદાવાદથી હિંમતનગરની બસ પકડી. હિંમતનગર પેરેમાઉન્ટ રેસ્ટોરન્ટમાં જમવા ગયા. ત્યાં વાતવાતમાં એક ભાઈને પૂછ્યું કે તમે શરીફને જાણો છો જે અમેરિકા ગયા છે! એ ભાઈ શરીફના સગા જ નીકળ્યા. અને કહ્યું ,”હા ચાલો જાણું છું, તમને એમના ઘરે લઇ જઈશ.” ફરી હિંમતનગરથી ઇલોલની બસમાં બેસી એ લોકો ઇલોલ પહોંચી ગયાં . ઇલોલ સાત હજારની વસ્તીવાળું નાનું ગામ હતું. હવે તો વસ્તી વધી ગઈ છે.એ ભાઈ શરીફને ઘરે લઇ ગયા.
મા ભેંસ દોહતાં હતાં. ગારથી લીપેલું ઘર હતું. શરીફના મોટાભાઈ મંદ બુદ્ધિના હતા. એ બોલ બોલ કરતા હતા. શરીફના બીજા ભાઈ બહારથી આવ્યા તો એમનો એક હાથ ના હતો. જે ઇલેક્ટ્રિક શોક લાગવાથી કાપવો પડ્યો હતો. પપ્પા થોડી વાતો કરીને નીકળી ગયા. ઇલોલ એક ખેતીપ્રધાન ગામ છે. મોટાં ભાગના લોકો ખેડૂત હતાં. જોકે હવે લોકો બહાર નીકળી અને હોટલના ધંધામાં પડી ગયાં છે. પણ પપ્પાને લાગ્યુ કે મને આ વાતાવરણમાં ફાવશે નહિ. એટલે પપ્પાનો જવાબ નેગેટિવ હતો. જેનો અફસોસ શરીફને હજુ પણ છે. પણ શરીફના કહેવા પ્રમાણે મારે બાનુમાને અમેરિકા લઇ જવી છે, ઇલોલ તો હું પોતે નથી રહેવાનો તો બાનુમા શું કામ રહે! અંતે પપ્પા માની ગયા. શરીફના વચેટ ભાઈ યુસુફભાઇ ગાંધીનગર રહેતા હતા. એમને ત્યાં પપ્પા ગયા, અને અમારી સગાઈની વાત કરી. યુસુફભાઇ પણ શોક પામી ગયા. કારણકે શરીફની એક સગાઇ તો થયેલી હતી. પહેલી સગાઇ તોડ્યા વગર બીજી સગાઇ શી રીતે થાય? તો પણ યુસુફભાઇએ પપ્પા પર વિશ્વાસ રાખી સગાઇ કરી દીધી. અમારામાં શરબતનો રિવાજ હતો. એટલે શરબત પી લીધું. સગાઇ થયા પછી ત્રણ અઠવાડિયે શરીફને ખબર પડી. ત્યારે વોટ્સએપ ના હતું. બહુ ફોન પણ થતાં નહિ, એટલે વાયુવેગે સમાચાર મળતાં નહીં.
મારા દાદાની તબિયત લથડવા લાગી હતી. ડોકટરના કહેવા પ્રમાણે બહુ લાંબુ નહીં ખેંચે. દાદાની ઈચ્છા ખરી કે મારા લગ્ન જોઈને જાય. શરીફને પત્ર લખી આવવા કહ્યું. હજુ એ અમેરિકામાં સેટ પણ થયો ના હતો. ફક્ત બે ડોલર પર કલાકની જોબ કરતો હતો એના ગયે હજુ નવ મહિના જ થયાં હતાં અને અમારે એને પાછો ભારત બોલાવવો પડ્યો.એ દેવું કરીને ભારત આવ્યો. મારી પ્રત્યેની મહોબત એને ભારત ખેંચી લાવી! નહીંતર કોને પડી હોય કે આટલે દૂરથી દેવું કરીને ભારત પાછો આવે! એ જુલાઈ 1977 માં પાછો આવ્યો. હું અને પપ્પા એને બોમ્બે લેવા ગયા. એણે મને એરપોર્ટ પર જ ઘડિયાળ પહેરાવી દીધી એ વાત હું કદી નહિ ભૂલું! હજુ એ ઘડિયાળ મારી પાસે છે જોકે ચાલતી નથી . બંને ત્રણ દિવસ બોમ્બેમાં ખૂબ ફર્યા. પિક્ચર જોવા ગયાં! બાંન્દ્રાબીચ ગયાં. ધીરે ધીરે મહોબત પરવાન ચડી રહી હતી. અમારા લગ્ન ઓગષ્ટ 2, 1977 ના દિવસે નક્કી થયા. ફટાફટ કંકોત્રી છપાઈ અને વહેંચાઈ! બોમ્બેથી થોડું શોપિંગ કરી હું અને પપ્પા મહુવા આવી ગયાં.
અંતે જે દિવસની પ્રતીક્ષા હતી એ દિવસ આવી ગયો. શરીફ બપોરે બે વાગે જાન લઈને આવી ગયો. બસમાં પચાસ માણસને લઈને આવ્યો હતો. બાનુમાની સગાઇ કોઈ બીજા ગામમાં થઇ છે એ વાત આખા મહુવાને ખબર પડી ગઈ હતી. એટલે જાન અને વર જોવા અડધું મહુવા ભેગું થઇ ગયું હતું. ઇલોલ ગામનો પહેરવેશ અને ભાષા બંને જુદા હતા. હું પણ લગ્ન પહેલા ઇલોલ ગઈ ના હતી. એમની બોલીમાં મને કાંઈ સમજ પડતી ના હતી. બધાં આવીને કૈંક કહી જતાં પણ હું પ્રશ્નાર્થભરી નજરથી એમને તાકી રહેતી. મારા વચેટ જેઠાણી જે ગાંધીનગરમાં રહેતાં હતાં એ ચોખ્ખું ગુજરાતી બોલતાં હતાં, એ મારા દુભાષિયા બની ગયાં. મને સમજાવતાં કે આ એમ કહેવા માંગે છે. એ લોકોનો પહેરવેશ પણ મહુવાથી બિલકુલ જુદો હતો. જાનને બપોરનું જમણ જમાડી સાંજે અમારાં નિકાહ હતાં. મારું દિલ ખૂબ ખૂબ ધડકતું હતું, કારણકે બિલકુલ અજાણી કોમમાં મારે જવાનું હતું, જેની ભાષા પણ મને આવડતી ના હતી.
સાંજના લાયન્સ ક્લબમાં પપ્પાએ મારું રીસેપ્શન રાખેલું હતું. મૌલવી સાહેબે નિકાહ પણ ત્યાં જ પઢાવ્યા હતા. બીજા દિવસે સવારે નાસ્તો અને બપોરના જમણવાર પછી મને રૂખસત કરવામાં આવી. મારા માટે એ ઘણી અઘરી ઘડી હતી. હું એટલું રડી કે લગભગ બેહોશ થઇ ગઈ! એક તો નજમાની યાદ, બીજું પિયર છોડવાનું દુઃખ અને ત્રીજું એકદમ અજાણ્યા લોકોમાં જવાનું! દિલ ધડકી રહ્યું હતું. પપ્પાની આંખમાં આંસુ આવી ગયાં, કદાચ વિચારતા હશે કે ” કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો.” અને મારા મનમાં ” ડુંગરા જેવો ઉંબરો બેનીએ માંડ કરી ઓળંગ્યો.” “ચલ રી સજની અબ ક્યાં હોતે, કઝરા ના બેહ જાયે રોતે રોતે” ગીત સ્ટીરીઓ પર વાગતું રહ્યું, પગ ભારે થઇ ગયાં હતાં, પપ્પાનું ઘર છોડતાં જીવ તાળવે આવી ગયો હતો. વળી વળીને હું બા, પપ્પા અને ઘરવાળાને જોઈ લેતી હતી. મારો ભાઈ સાદિક ખુરશી પર ચઢીને કુરાન લઈને ઊભો હતો, હું કુરાનનાં સાચા નીચેથી પસાર થઈને ઇલોલ જવા બસમાં બેસી ગઈ.
એક અજાણી વ્યક્તિ અને એક અજાણ્યા ગામની સફર ની શરૂઆત થઇ ગઈ હતી. રાત્રે નવ વાગે અમદાવાદ પહોંચ્યા. ત્યાં પેરામાઉન્ટમાં શરીફે મને જમાડી. ત્યાંથી સીધા અમે ઇલોલ પહોંચ્યા. ઇલોલ પહોંચ્યા ત્યારે રાતના બે વાગ્યા હતા. અમારું ઘર મેં પહેલીવાર જોયું. બહેને રસ્તો રોકી ભાઈ પાસેથી મેખના પૈસા લીધાં, ઘરમાં દાખલ થવા માટે આ એક રિવાજ હતો. રાતે બે વાગે લગભગ ઘણાં લોકો ઘરમાં આવી ગયાં . હું કોઈ એલિયન હોઉં એવી રીતે બધા મને તાકી રહ્યાં હતાં . મારા વચેટ જેઠાણી મને બીજા ફ્લોર ઉપર લઈ ગયાં, ત્યારે બધાં વિખેરાયાં.
નવા જીવનની મહેક!
બીજા દિવસે ઘરે ઘરે મળવા જવાનું હતું. મેં લીલા રંગની સાડી પહેરી હતી. ગામમાં આવી રીતે સાડી પહેરીને કોઈ નીકળતું નહોતું. શરીફે રિક્ષા બોલાવી હતી છતાં ગામના છોકરાનું ટોળું અમારી રિક્ષા ની પાછળ પાછળ દોડતું હતું. વરસાદની ઋતુ હોવાથી સિમેન્ટ અને ડામર વગરના માટીનાં રસ્તા પર કીચડ થઇ ગયેલો અને હું જ્યાં ઉતરતી ત્યાં સાડી ઊંચી લેવી પડતી હતી. મારા સેન્ડલ પણ ગારાથી ખરડાઈ ગયેલા. ઘરે ઘરે ચા પીવી ફરજિયાત હતી. ઘરે આવી ત્યારે શરમને મારી જે ચા પીધેલી એ બધી ઉલ્ટી વાટે બહાર આવી ગઈ. બિચારા મારા સાસુ કહેવાં લાગ્યાં, મારી સુંદર વહુને નજર લાગી ગઈ છે. ખરેખર હું ત્યારે ઘણી સુંદર દેખાતી હતી. કોલેજમાં મને લીના ચંદાવરકર, અને તનુજા કહીને બોલાવતાં. મા એ નજર ઉતારી. મને બહાર જવાની ના કહી. મને હાશ થઇ હતી. કારણકે એ લોકોની ભાષા હું જાણતી ના હતી, અને લોકો સાથે હળવા મળવાનો મને શોખ ના હતો. મા મને ખૂબ ચાહતાં હતાં . તેથી મા હંમેશા મને સંભાળી લેતાં.
ત્રીજા દિવસે શરીફ મને ગાંધીનગર લઇ આવ્યો. ત્રણચાર દિવસ ત્યાં રહ્યાં. પછી અમે હનીમૂન માટે આબુ ફરવાં ગયાં. અમે ત્રણ દિવસ રોકાયાં હતાં. દેલવાડાના ડેરા જોયાં, નખી તળાવ જોયું. ત્યાં જાતજાતના રંગબેરંગી પક્ષીઓ દૂર દૂરથી આવે છે. પક્ષીનો મધૂર અવાજ કાનમાં સંગીત ઘોળી દે! ત્યાંની પર્વતની હારમાળા જોવાનો એક લહાવો લીધો. દૂર દૂર સુધી હરિયાળી છવાયેલી છે. એમાં જો મનગમતો સાથ હોય તો સફર ઔર હસીન થઇ જાય છે. ખાસ કરીને વહેલી સવારે સૂર્યોદય જોવો એક લહાવો છે. ત્યાંની સુંદરતાએ મને મંત્રમુગ્ધ કરી દીધી હતી. એ પછી તો ઘણીવાર અમે આબુ જઈ આવ્યા, હનીમૂનના પ્રેમની જે સુવાસ હૃદયમાં પ્રસરી એ હજુ સુધી બાકી છે. મધૂર મધૂર દિવસો હતાં.
ત્રણ દિવસ પછી અમે ગાંધીનગર આવ્યા. ગાંધીનગર પહોંચતા જ યુસુફભાઇએ સમાચાર આપ્યા કે મારા દાદા જે બીમાર હતા તે ગુજરી ગયા છે. ફક્ત મારા લગ્ન થવાની જ રાહ જોતા હતા. મારા લગ્ન પછી અઠવાડિયામાં ગુજરી ગયા.
અમે મહુવા જવાં રવાનાં થયાં . દાદાની ઝિયારત કરી શરીફ મારા જન્મપત્રક અને મારા લગ્ન સર્ટિફિકેટ બનાવવાની ધમાલમાં પડી ગયો. જેમાં કાકાના મેનેજર મનહરભાઈએ મદદ કરી. આ બધાં પેપરનું મહત્વ હવે મને સમજાઈ છે. શરીફ બે મહિના માટે આવેલો. અમે પેપર્સની ફાઈલ બનાવી હતી. શરીફ અમેરિકા જઈને પછી મારા માટે વિઝા માટે એપ્લાય કરવાનો હતો. શરીફ અમેરિકા જવાનો હતો ત્યારે હું એને બોમ્બે મૂકવા ગઈ. મારું દિલ ખૂબ ઉદાસ થઇ ગયું હતું. બે મહિનામાં શરીફે મને ખૂબ પ્રેમ આપ્યો. એરપોર્ટ પર હું એને વળગીને ખૂબ રડી પડી. એ મને આશ્વાસન આપતો રહ્યો કે જલ્દી બોલાવી લઈશ. અને હું એને ભીડમાં અદ્રશ્ય થતો જોઈ રહી! હું ગાંધીનગર પાછી આવી. એના વગર મને ખૂબ એકલું લાગતું હતું.
ગાંધીનગરમાં રહીને અમદાવાદમાં મેં કી પંચિંગ ના કલાસ ચાલુ કર્યા . અમદાવાદમાં મારે દેવયાની સાથે મુલાકાત થઇ. દેવયાની સુરેન્દ્રની પત્ની. અને સુરેન્દ્ર શરીફનો પાકો મિત્ર. એ બંને અમેરિકામાં અને હું અને દેવયાની બંને વીઝા ની રાહ જોતાં ભારતમાં. અમારે સરસ મેળ પડી ગયેલો. બંને સાથે ક્લાસ કરીએ, ફિલ્મ જોઈએ, ભેળપૂરી ખાઈએ અને અમદાવાદની ગલીઓમાં રખડીએ. થોડા સમય પછી મને ગાંધીનગરના હેન્ડલુમ હાઉસમાં સેલ્સ ગર્લની જોબ મળી ગઈ. ૮૦૦ રૂપિયા મહિને પગાર હતો. મને પહેલેથી પગભર થવું ગમતું. કોઈ પાસે પૈસા માંગવા ના ગમે. પણ ખાવા પીવાના બહું ઠેકાણા પડે નહિ એટલે મારું વજન ઉતરવા લાગ્યું હતું. બા પપ્પા એકવાર કાણોદર ગયેલા ત્યાંથી એ લોકો ગાંધીનગર મને મળવાં આવ્યાં. મને જોઈને બા તો રડી જ પડયાં.એમની મમતા ઉમટી આવી!
શરીફે વિઝા માટે એપ્લાય કરી દીધું હતું. અને લગ્ન પછી નવ મહિને વિઝા કોલ આવ્યો. હું ખુશીથી ઉછળી પડી! લગ્ન સમયે મારી ઉંમર ૨૪વર્ષની હતી. જિંદગી પ્રત્યે હું ગંભીર ના હતી.છોકરમત હતી. અમેરિકાને પણ મેં ગંભીરતાથી લીધું ના હતું. લોકો અમેરિકા જવા માટે પડાપડી કરતાં હતાં. ત્યારે સહેલાઈથી મળેલી તક ને હું સમજી શકતી નહોતી.વિઝા લેવા હું બોમ્બે આવી. બૉંમ્બેમાં માસુમાબેનને ઘરે ઉતરી હતી. વિઝા લઈને હું મહુવા બધાને મળવા ગઈ. બધાથી છેલ્લીવાર વિદાઈ લઇ લીધી. પપ્પાને ભેટીને હું ખૂબ રડી! પપ્પા બોમ્બે સુધી મૂકવા આવેલા. એ મને દૂર સુધી એરપોર્ટ પર અદ્રશ્ય થતી જોઈ રહેલા. એમની આંખોના આંસુ મને દૂરથી પણ દેખાતાં હતાં.
ક્રમશઃ
-
ગયાં વર્ષો તે તો ખબર ન રહી… | રહ્યાં વર્ષો તેમાં…
જુલાઈ એટલે કવિ શ્રી ઉમાશંકર જોશીના જન્મ – જુલાઈ ૨૧, ૧૯૧૧ – નો મહિનો.
આજે તેમની બે કવિતાઃ બંને સોનેટ-
(૧) ગયાં વર્ષો તે તો ખબર ન રહી…
ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !
ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં !ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો !
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે.સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપટ અવિશ્રાંત વિલસ્યો.
અહો હૈયું ! જેણે જીવતર તણો પંથ જ રસ્યો.ન કે નાવ્યાં માર્ગે વિષ, વિષમ ઓથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા.
તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં –
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં !(૨) રહ્યાં વર્ષો તેમાં…
રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનુંકદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઈ જ નિરમી ‘દુષ્ટ’ દુનિયા.-અહો નાનારંગી અજબ દુનિયા! શે સમજવી?
તને ભોળા ભાવે કરૂં પલટવા, જાઉં પલટી;
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી!વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી.-
મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;
નિશાખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે;
જનોત્કર્ષે-હ્રાસે પરમ ઋતુલીલા અભિરમે.-બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું:
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.—ઉમાશંકર જોશી
-
મહિલાઓને પ્રજનન સંબંધી નિર્ણય લેવાનો પૂર્ણ અધિકાર છે
નિસબત
ચંદુ મહેરિયા
પિતૃસત્તાક સમાજમાં મહિલાને માણસ નહીં વસ્તુ માનવામાં આવે છે. પુરુષો માટે મહિલાઓ જાણે કે છોકરાં જણવાનું મશીન છે. ભારતમાં વસ્તી નિયંત્રણનો બોજ પણ મહિલાઓના માથે થોપી દેવામાં આવ્યો છે. સરકારો પણ પરિવાર નિયોજનના લક્ષ્યાંકો પૂરા કરવાની જવાબદારી મહિલાઓના માથે ઢોળે છે. અસલામત અને ખતરનાક પરિસ્થિતિઓમાં મહિલાઓના શરીરને વસ્તી નિયંત્રણના સાધન તરીકે ઉપયોગ કરીને તેમના પર પરિવાર નિયોજનની સર્જરી કરવામાં આવે છે. ભારતના બંધારણે તો શું સ્ત્રી કે શું પુરુષ સૌને સમાન લેખ્યા છે પરંતુ વાસ્તવિકતા જુદી છે. સ્ત્રીઓની આ હાલતમાં બંધારણીય જોગવાઈઓ અને તેને વશવર્તી અદાલતોના ચુકાદા તેમની સમાનતાનું સમર્થન કરે છે ત્યારે આશ્વસ્ત થવાય છે. સંવિધાન અને કોર્ટો સ્ત્રીઓની પ્રજનન સ્વાયત્તતા સ્થાપિત કરે છે. મહિલાઓને તેમનાં શરીર અને પ્રજનન સંબંધી નિર્ણય, સ્વતંત્રપણે તેમજ કોઈની ય દખલ વિના લેવાનો પૂર્ણ અધિકાર છે. બંધારણના આર્ટિકલ ૨૧થી આ અધિકાર સંરક્ષિત છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી કર્ણાટક હાઈકોર્ટે એક દુર્લભ કેસમાં મહિલાના સર્વોત્તમ હિતમાં ચુકાદો આપી ફરી એક વાર ન્યાયની આશા જગવી છે. સંપૂર્ણ પરાવલંબી ૨૩ વર્ષીય એક યુવતી ગંભીર માનસિક અને વિકાસાત્મક અક્ષમતાઓ ધરાવે છે. તેમની વય તો ૨૩ની છે પરંતુ બુધ્ધિ અને શરીરની વય માંડ પાંચ વરસની છે. ૭૫ ટકા કાયમી વિકલાંગતા ધરાવે છે. ૧૩ વરસથી ખેંચ અને વાઈની દવા પર નભે છે. સેરેબ્રલ પાલ્સીપીડિત યુવતી ઉમરના પ્રમાણમાં શરીર અને બૌધ્ધિક ક્ષમતાએ અવિકસિત છે. દર મહિને તેને માસિક તો આવે છે. પન તેની સ્વચ્છતાની તેને કોઈ સમજ નથી. તેને કારણે તેના શરીરમાં ચેપ લાગે છે અને આરોગ્ય વિષયક ગંભીર સમસ્યાઓ પેદા થાય છે. તેના માતા-પિતા અને વાલી તેની સંભાળ તો બહુ રાખે છે પરંતુ કેટલીક બાબતો સંભાળવી તેમના માટે પણ બહુ મુશ્કેલ છે.
શારીરિક-માનસિક રીતે અવિકસિત અને અક્ષમ આ યુવતીના ગર્ભાશયને જો સર્જરી દ્વારા કાઢી નાંખવામાં આવે તો, તેને માસિકને કારણે દર મહિને જન્મતી પીડા અને આરોગ્યની સંભાળમાંથી છૂટકારો આપી શકાય. આ માટે તેમણે અદાલતના દરવાજા ખટખટાવ્યા હતા. વ્યક્તિ સ્વયં તેના આરોગ્ય સંબંધી નિર્ણય લેવા સક્ષમ ન હોય ત્યારે માતા, પિતા, વાલી અને તબીબો કોર્ટ સમક્ષ અરજ કરે છે. આવા અક્ષમ વ્યક્તિના સંરક્ષકની ભૂમિકા રાજ્ય અને અદાલતોની છે. તબીબી વિજ્ઞાનનો નિયમ તો દર્દીને સર્જરીના હેતુ, લાભાલાભ અને જોખમ સમજાવી તેની લેખિત સંમતિ મેળવવાનો છે. .પરંતુ દર્દી ખુદ આ માટે અક્ષમ હોય તો તે કામ તેના વાલી-વારસોએ કરવું પડે છે. માનસિક વિકલાંગ મહિલાઓના ગર્ભાશય બળજબરીથી કાઢી નાંખવામાં આવે છે એટલે પણ કડક કાયદાકીય જોગવાઈઓ કરવી પડી છે. RAIGHT OF PERSONS WITH DISABILITIES ACT, 2016ની એક કલમમાં વિકલાંગ વ્યક્તિની સહમતિ વિના તેની પ્રજનન ક્ષમતાને કાયમી અસર કરે તેવી સારવાર કે સર્જરી તેની સહમતિ વિના ન કરવાની જોગવાઈ છે.
બંધારણીય જોગવાઈઓ, કાયદાની કલમો અને વકીલોની દલીલો પરથી હાઈકોર્ટે ટોટલ એબ્ડોમિનલ હિસ્ટેરેક્ટોમી (પેટ ચીરીને ગર્ભાશય કાઢવાની શસ્ત્રક્રિયા) ની મંજૂરી આપી છે. અદાલતે આ માટે બહુ વિષયક નિષ્ણાતોના મેડિકલ બોર્ડની રચના કરી તેમનો અભિપ્રાય મેળવ્યો હતો. જસ્ટિસ સૂરજ ગોવિંદરાજે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે મહિલાના સર્વોત્તમ હિત, લાંબાગાળાના કલ્યાણના રક્ષણ, સલામતી, તેના આરોગ્ય અને ગરિમા માટે આવશ્યક હોઈ આ અનુમતી આપી છે. આ ચુકાદો માત્ર એક વ્યક્તિના હિતનો નથી તે દૂરોગામી અસરો પણ જન્માવશે.
સામાન્ય રીતે માનસિક વિકલાંગ મહિલાઓના ગર્ભાશય નાબૂદીના નહીં પણ તે યૌન હિંસાનો ભોગ બની ગર્ભવતી બની હોય તો ગર્ભપાતના ન્યાયિક વિવાદના કેસો અદાલતો સમક્ષ વધુ આવે છે. ૨૦૨૪માં ગુજરાતની વડી અદાલતે માત્ર ૧૫ વરસની માનસિક વિકલાંગતાગ્રસ્ત આદિવાસી છોકરીને ૨૮ સપ્તાહના ગર્ભપાતની અસાધારણ સંજોગોમાં મંજૂરી આપી હતી. ૨૦૦૯ના સુચિતા શ્રીવાસ્તવ વિરુધ્ધ ચંદીગઢ પ્રશાસનના કેસમાં નજીવી માનસિક વિકલાંગ બળાત્કારપીડિતાએ ગર્ભમાં રહેલા બાળકને રાખવાની પસંદગી કરતાં સર્વોચ્ચ અદાલતે તેની પસંદગી માન્ય રાખી હતી. ૨૦૨૦માં ઓડિસા હાઈકોર્ટે તબીબી જોખમના અહેવાલના આધારે બળાત્કારપીડિતાને ૨૪ અઠવાડિયાના ગર્ભને સમાપ્ત કરવાની મંજૂરી આપી નહોતી. પરંતુ તેની દેખભાળ અને વળતર સુનિશ્ચિત કર્યા હતા. આ ચુકાદાઓ મહિલાઓને શરીર સંબંધી નિર્ણય લેવામાં સ્વતંત્રતા અને સ્વાયત્તતા આપે છે.
ઘણીવાર સમાજના આર્થિક સામાજિક નબળા વર્ગની મહિલાઓના ગર્ભાશય બળજબરીથી કાઢી નાંખવાના બનાવો બને છે. મહારાષ્ટ્રમાં માસિક અને અન્ય તકલીફોને કારણે મહિલાઓને શેરડી કામદાર તરીકે કામે રાખતા નહોતા તેથી આશરે ૧૩,૦૦૦ મહિલાઓના ગર્ભાશયો કાઢી નાંખવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં માસિક સંબંધી શારીરિક તકલીફોના ઈલાજ મટે ગયેલી આદિવાસી મહિલાઓના ગર્ભાશયો કાઢી નાંખવામાં આવ્યા હતા. તેનું કારણ તેઓ મજૂરીમાંથી હવે રજા ન લે તે હતું. મહિલાઓની પરિવાર નિયોજન શસ્ત્રક્રિયામાં પણ તેમની સાથે બળજબરી થાય છે કે અસલામત વાતાવરણમાં સર્જરી થાય છે. આ પ્રકારની સ્થિતિમાં મહિલાને તેના અધિકારો માટે ખબર હોતી નથી અને સરકારી તંત્ર તેમના પર બળજબરીથી નિર્ણયો થોપે છે અને નસબંદીના લક્ષ્યાંકો ઉંચા દર્શાવે છે.
મધ્યપ્રદેશમાં બે વરસ પહેલાં પરણેલું એક શ્રીમંત દંપતિ કોઈ મુદ્દે વિવાદ થતા છૂટું પડ્યું. એકલી રહેતી પત્નીના ગર્ભમાં બાળક હતું.પરંતુ તે ૧૩ મહિનાના ગર્ભનો નિકાલ કરવા માંગતી હતી. પતિ તે માટે સંમત નહોતો. આ બાબતે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે ગર્ભ રાખવા ના રાખવાની સંપૂર્ણ ઈચ્છા મહિલાની છે અને તેમાં પતિની દખલ પણ સ્વીકાર્ય નથી તેમ કઃઈ ગર્ભપાતની મંજૂરી આપી હતી. કલકત્તા હાઈકોર્ટે ૪૯ વરસના પત્ની અને ૫૭ વરસના પતિને આઈવીએફથી બાળક મેળવવાની મંજૂરી આપી હતી. પતિ-પત્નીની વધુ ઉંમર અને પતિની ઉમર તો આઈવીએફથી બાળક મેળવવાની મહત્ત્મ ઉમર ૫૫ વરસને વટાવી ગયાની દલીલ કરીને હોસ્પિટલે મની સારવારનો નન્નો ભણ્યો હતો. પરંતુ વડી અદાલતે મહિલા ગર્ભ ધારણ કરવા શારીરિક રીતે સક્ષમ હોઈ તેને પ્રજનનના અધિકારથી વંચિત રાખી શકાય નહીં તેમ જણાવી મંજૂરી આપી હતી.
બંધારણીય જોગવાઈઓ અને અદાલતોના ઉદાર તથા પ્રગતિશીલ વલણને જરૂર આવકારીએ, વખાણીએ. પરંતુ સમાજનું વલણ તો રૂઢિચૂસ્ત જ છે. માતૃત્વ, પ્રજનન, ગર્ભપાત અને સ્ત્રીના શરીર સંબંધી નિર્ણયોનો અધિકાર કાં તો ઘરના વડીલો કે પતિને જ હોય તેમ સમાજ વર્તે છે. બહુ થોડા લોકો પોતાના અધિકારો માટે અદાલતો પાસે જઈ શકે છે. એટલે પ્રગતિશીલ કાયદાકીય જોગવાઈઓ સાથે સમાજનું પિત્રુસત્તાક માનસ બદલાય તો જ મહિલાઓને તેમના ઉચિત હક મળી શકે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સદાબહાર સૂર શ્રી અવિનાશ વ્યાસ – સ્મરણાંજલી
આલેખનઃ રાજુલ કૌશિક
દિવસો, મહિનાઓ, વર્ષો પસાર થયે રાખે છે. મોબાઇલ પર જ તારીખ-વાર જોવાની ટેવ પડી છે એટલે ઘરમાં કેલેન્ડરનું અસ્તિત્વ પણ નામશેષ થવા માંડ્યું છે.
એક સમય હતો જ્યારે અંગત સ્નેહી-સંબંધીઓ અને મિત્રોનાં ટેલિફોન નંબર સૌને યાદ રહેતાં. ‘મોબાઇલ આવ્યા પછી પહેલાંની જેમ હવે ફોનનાં નંબર યાદ નથી રહેતા. જન્મદિને શુભેચ્છા પાઠવવા માટે મોબાઇલમાં રિમાઇન્ડરની સગવડ છે એટલે જન્મદિનની તારીખો નથી યાદ રહેતી’ એવી સ્મૃતિ-વિસ્મૃતિની વાતો પણ થતી રહે છે.
તેમ છતાં એવી અનેક વ્યક્તિઓ છે જે અંગત નથી છતાં ખાસ છે, એમનાં જન્મદિને કે પુણ્યતિથિએ સૌ એમને યાદ કરે જ છે અને અચૂક સ્મરણાંજલિ આપે જ છે. એવો ખાસ દિવસ એટલે કે ૨૧ જુલાઈ અને આવી ખાસ વ્યક્તિઓ એટલે જેમના નામ વગર ગુજરાતી કવિતા અધૂરી કહેવાય એવા કવિ શ્રી ઉમાશંકર જોશી અને ગુજરાતી સુગમ સંગીતની ઇમારતના પાયા જ નહીં આખેઆખી ઇમારત જ કહી શકાય એવા સન્માનીય ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસ.
૨૧ જુલાઈ ૧૯૧૧ના દિવસે શ્રી ઉમાશંકર જોશીનો જન્મ થયો અને એક વર્ષ પછી ૧૯૧૨ની ૨૧મી જુલાઈએ જન્મ થયો શ્રી અવિનાશ વ્યાસનો.અન્ય માટે કદાચેય આ દિવસ એક સામાન્ય દિવસની જેમ પસાર થઈ ગયો જશે, પરંતુ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સુગમ સંગીતના ચાહકો માટે તો આ દિવસે સુવર્ણ અક્ષરે બે નામ લખાઈ ચૂક્યા હતા.
૨૧ જુલાઈ ૧૯૧૧ અને ૨૧ જુલાઈ ૧૯૧૨ એટલે કે એક વર્ષના અંતરે ગુજરાતની ભૂમિ પર એવી બે વ્યક્તિઓનો જન્મ થયો જે સમયાંતરે વ્યક્તિવિશેષ તરીકે અત્યંત નામના પામ્યા.
આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાના પદો, અખાના છપ્પા, કબીરના દોહા, મીરાંભાઈના ભજનોથી માંડીને આજ સુધી આપણે પણ કેટકેટલાં ગીતો, કાવ્યોને આસવાદ્યા હશે. અનેકવિધ રચનાઓ સાંભળી હશે, માણી હશે, પણ આજે એક વાત નિશ્ચિતપણે કહી શકાય કે શ્રી અવિનાશ વ્યાસે સુગમસંગીતની એક એવી અનોખી રીત આપણને આપી જેનાથી એ આજે પણ એ ચિરસ્મરણીય બની રહ્યા છે.
આવા ચિરસ્મરણીય ગીતકાર-સંગીતકારે એક અનોખું સપનું સેવ્યું હતું.
શ્રી અવિનાશ વ્યાસને અમદાવાદ કે અમદાવાદની નજીક એક એવી સંગીતની સંસ્થા, સંગીતની ઈમારત બનાવવાની ઇચ્છા હતી જ્યાં સંગીતની તમામ સવલતો હોય. જ્યાં ચોવીસ કલાક સંગીત ગુંજતું હોય. સંગીતની તાલીમ અપાતી હોય અને સતત સંગીત વહેતું હોય એવા સાધનાભવનનું સર્જન કરવું. એમણે એવી ઇમારતનો કૉન્સપ્ટ પણ તૈયાર કરાવેલો જેમાં તબલાં અને વચમાં વીણા હોય. અંદર ઑડિટોરિયમ હોય, મ્યુઝિકરૂમ હોય, રિહર્સલ કરવાની સવલત હોય. કોઈ પણ સંગીતકાર કે કવિનું જીવન ધન્ય થઈ જાય એવું સપનું એમણે સેવ્યું હતું. એ સ્વપ્નની ઇમારતનું નામ આપ્યું હતું- ‘નાદબ્રહ્મ’.
સંગીતનું એ સાધનાભવન ‘નાદબ્રહ્મ’- અવિનાશ વ્યાસનું એક એવું સ્વપ્ન હતું જેમાં સાવ અનોખી ઈમારતની રચનાની વાત હતી.
આજે એમના આ સ્વપ્ન ઇમારત- ‘નાદબ્રહ્મ’ની વાત થઈ રહી છે ત્યારે એક રચના યાદ આવે છે જાણે સ્વપ્નદ્રષ્ટા એટલે કે ભવિષ્યની કલ્પના કરનાર એક દ્રષ્ટાની નજરે જે જોયું કે વિચાર્યું એની શાબ્દિક રજૂઆત છે જેમાં નાદબ્રહ્મને -નાદરૂપી પરમતત્વને આ ચારેકોર વેરાયેલા વિવાદ, વિખવાદ, વ્યથાની આંધી દૂર કરવા પ્રગટ થવાની પ્રાર્થના છે.
“હે નાદબ્રહ્મ જાગો….
આજ વિશ્વ વાદ અને વિવાદથી અશાંત છે,
ને સૂનું જગત, દેશ-દેશ પ્રાંત પ્રાંત છે,
વ્યોમ-વ્યોમને બતાડું મધુર બીન વાગો.”અવિનાશ વ્યાસ કોઈ ભવિષ્યવેત્તા કે નજૂમી નહોતા. એ હતા માત્ર ઋજુ હૃદયના, અત્યંત સંવેદનશીલ વ્યક્તિ. છતાં એમણે જે વાત કે વ્યથા આ રચનામાં વણી છે એ જાણે -અજાણે આજે આપણી નજર સમક્ષ દેખાઈ રહી છે. એમની વ્યથા આજની આપણી કથા બની ગઈ છે. ચોમેર વાદ-વિવાદ અને વિખવાદ વેરાયેલો છે. વિશ્વ આખું અશાંત છે. એકમેકને નાથીને સત્તા આંચકી લેવા યુદ્ધ છેડાય છે અને વિનાશ વેરાય છે.
આવા સમયે આજે આપણે પણ સૌ ખરા ભાવથી આપણી ભાવટ ભાંગવા ઈશ્વર અવતાર ધરે એવી પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થનાનો સૂર અવિનાશ વ્યાસની આ રચનામાં પડઘાતો સંભળાય છે.
ફરી કૃષ્ણ તણી બંસરી લઈને આવો,
ફરી એક તાર, એક પ્રાણ સકળમાં જગાવો,
હે આદ્ય ષડજ દેવ, વિશ્વનો વિવાદ ભાંગો,
ગર્જાવો શંખનાદ, ગર્જાવો શંખનાદ,
શમી જાય આ વિખવાદ, ગર્જાવો આ શંખનાદ,
એવો રાગ ગાય જગત પ્રગટે અનુરાગો,
હે નાદબ્રહ્મ જાગો…….વિશ્વના ખૂણે ખૂણેથી અવાજ ઉઠ્યો છે. એક એવા બુલંદ શંખનાદની જરૂર છે જે ચારેકોર ઉમટેલા કોલાહલને શમાવે, સમસ્ત જગતનું ચેતન જગાવે. આજે બંસરીના એક એવા સૂરની જરૂર છે જેનાથી પ્રાણતત્વના, આપણી ચેતનાના તાર રણઝણી ઉઠે. વિખવાદના સૂરને અનુરાગના, પ્રેમના કોમળ સ્વરમાં પલટાવે.
કોઈ કોમળ, સંવેદનાથી છલોછલ હૃદયની વ્યક્તિ જ્યારે નાદબ્રહ્મને જગાવે ત્યારે તો એ પરમતત્વને જાગવું પડશે ને?
સાંભળ્યું છે કે, ગત વર્ષે પ્રધાનમંત્રીજીએ મનમંદિર ટ્રસ્ટને આપેલી જમીન પર ‘નાદબ્રહ્મ’ આર્ટ સેન્ટર બની રહ્યું છે. આધુનિક સુવિધા ધરાવતા આ આર્ટ સેન્ટરમાં સંગીત, નૃત્યની તાલીમ માટે બારથી વધુ વર્ગખંડ, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે પાંચ પર્ફોર્મિંગ સ્ટુડિયો, એક ઓપન થિયેટર, સુંદર બગીચો, આઉટડોર મ્યુઝિકલ ગાર્ડન, આધુનિક પુસ્તકાલય અને સંગીતના ઇતિહાસને દર્શાવતું મ્યુઝિયમ પણ હશે. નજીકના ભવિષ્યમાં, ‘નાદબ્રહ્મ’ કલાકેન્દ્ર સંગીત ક્ષેત્રની પ્રવૃત્તિઓ માટે વિશેષ કેન્દ્ર તરીકે સેવા આપશે. ભારતીય સંગીત કળાનું તમામ જ્ઞાન આ ઇમારતમાં ઉપલબ્ધ થશે.
આશા રાખીએ કે, આ ‘નાદબ્રહ્મ’ કલાકેન્દ્ર થકી અવિનાશ વ્યાસની કલ્પનાને સાકાર થાય તેમજ વિશ્વ આખાયમાં અનુરાગનો અવાજ ગુંજે..
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્નું : પ્રકરણ ૩ તા. ૧-૧૧-૯૧

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’
તા. ૧-૧૧-૯૧:- આજે અમે કાંઇ જોવા ગયા નહોતા. આજ દીવાળી હતી. દીવાળીનો મહિમા આ દેશમાં ઘણો જ થોડો છે.
૨. દીવાળી હોવાને લીધે આજ કાંઈક ગમ્મત કરવાને અને અહીંનું ગાયન કેવું હશે તે જીજ્ઞાસાથી આજ રાતે અમે ચાર ગવૈયા બોલાવ્યા. તેઓ આવ્યા ત્યાર પહેલાં અમે વાળુ કરી લીધું હતું. અમે એક ઢોલિયા પર બેઠા અને તેઓ ગાવા લાગ્યા. તેઓ શું ગાય છે તે અમે જરા પણ સમજી શક્યા નહિ. તેઓની પાસે તીવ્ર અને ઝીણા અવાજનાં રાવણહથ્થા જેવાં વાજાં હતાં. તેઓ મોટે સાદે ગાતા હતા. તે વખતે, યમરાજના દૂતોનું ભાન થતું હતું, કેમ કે, તેઓ ઘણાજ કદાવર હતા અને તેઓનો અવાજ ઘેરો હતો. થોડો વખત આ કાશ્મીરી ગાયન સાંભળી અમે સૂઈ રહ્યા.
તા. ૨-૧૧-૯૧:- આજ બેસતા વર્ષનો તહેવાર હતો તેથી અમે સૌ વહેલા ઊઠ્યા. ગંગરી અથવા નાની સગડી છાતી આગળ રાખી ઉતાવળથી નિત્ય કર્મ કરવા લાગી ગયા.
અગિયાર વાગે કાશ્મીરના રેસીડંટ કર્નલ પ્લિડોને મળવા ગયા. તે ઘણા જ વૃધ્ધ ને ભલા માણસ છે. અમને શ્રીનગરની કેટલીક સુંદર જગ્યાઓ બતાવવામાં રેસિડન્સી વકીલ લાલા જયકિસનદાસ મદદ આપશે એમ રેસિડેન્ટે કહ્યું. વાઈસરૉય પાંચમી તારીખે શ્રીનગર આવવાના હતા, તેથી એમની મુલાકાત લેવા અમારો વિચાર થયો. રેસીડેન્ટને અમારી આ ઇચ્છા જણાવી તેથી તેણે કહ્યું કે વાઇસરૉયના ફોરિન સેક્રેટરી સર ડ્યુરેંડ તે ગોઠવણ કરી આપશે. રેસિડંટની રજા લઇ તુરત જ લાલા જયકિસનદાસ મારફત સર ડ્યુરેંડને મળવાનો વખત પૂછાવ્યો. અમે અમારી કિસ્તી સુધી નહોતા પહોંચ્યા તેટલા વખતમાં લાલા જયકિસનદાસે આવી કહ્યું કેઃ સર ડ્યુરેન્ડ સાહેબ હમણાં જ મુલાકાત લેશે. તેથી અમે જ્યાં તેઓ ઊતર્યા હતા ત્યાં ગયા. થોડા જ વખતમાં તેઓ આવ્યા. વાઈસરૉયની મુલાકાત વિષે પૂછતાં એમણે કહ્યું કે ‘હું એઓ સાહેબને પૂછી જોઈશ. પછી કેટલીક વાતચીત કરી અમે રજા લીધી, ઉતારે આવ્યા અને જમ્યા.
અમે દૂધ લેવા એક માણસ મોકલતા હતા. તે માણસ દૂધ દોવરાવતી વખત ગાય પાસે જ રહેતો છતાં દૂધ પાતળું આવતું. આમ થવાનું કારણ થોડો વખત અમે સમજી શક્યા નહિ. પણ પછી માલૂમ પડ્યું કે, ગૌલી દોતી વખત એક ચામડાની નળી જભ્ભા નીચે રાખે છે. તેમાં પાણી ભરી રાખે છે અને દોતી વખત આ નળીના મોંમાંથી થોડું થોડું પાણી ઠામમાં જવા દે છે.
અહો ! અસંતોષ અને લોભ માણસને કેવાં નીચ કૃત્યો શીખવે છે !’[૧] લાલચી માણસની બુધ્ધિ કેવી ભ્રષ્ટ થઇ જાય છે! દ્રવ્યની લાલસા મનુષ્યના બ્રહ્મતુલ્ય શુધ્ધ ચેતન આત્માને કેવો તુચ્છ બનાવી દે છે! સ્વાર્થ અંતઃકરણને કેવું અશુદ્ધ કરી નાખે છે! હૃદય અનીતિથી કેવું ભ્રષ્ટ અને અવિચારી બની જાય છે! નીતિનો માર્ગ એક વખત જ જરા પણ ઉલ્લંઘન કર્યા પછી માણસની કેવી પશુવત્ સ્થિતિ થઈ જાય છે! એક દુષ્ટ કૃત્ય સિદ્ધ કરવા બીજાં હજાર પાપ કરવાં પડે છે. આ ક્ષણભંગુર દેહને બહુ જ થોડું જોઈએ છીએ, છતાં ઇંદ્રિય સુખની તૃષ્ણામાં લપટાઈ જઈ માણસ શું શું કૃત્ય ન કરે! આ એક ધન લોભી માણસ શું નહિ સમજતો હોય કે બીજાને છેતરવા જતાં હું જ છેતરાઉં છું! ઈશ્વરનો ગુનેહગાર થાઊં છું! મારી સાખ હલકી થવાથી મને અતિશય નુકસાન થાય છે! તેની ચોરી પકડાઈ ત્યારે પણ તેને પોતાનાં આવાં કપટી કર્મનો ત્યાગ કરવાની શું ઇચ્છા નહિ થઇ હોય ? ખરેખાત, તેને પણ સ્મશાન વૈરાગ્ય થયો હશે જ, પણ એ ક્યાં સુધી? દુરાચરણથી પેટ ભરનારા ક્ષુદ્ર જનોને વળી કર્તવ્ય શું અને અકર્તવ્ય શું!
સાંજે અમે બહારશાહ અને સમદશાહની દુકાને કાશ્મીરી પશમીના અને શાલો જોવા ગયા. આ શાલો એવી તો ટકાઉ અને સુંદર બને છે કે તેની જોડ સૃષ્ટિમાં બીજે ક્યાંય છે જ નહિ. ક્યાં આ જંગલી દેશ અને ક્યાં આ અલૌકિક કારીગીરી! ઉદ્યોગ શું ન કરે! પ્રયત્નથી પશુ પક્ષીઓ પણ સારૂં કામ કરે છે તો આ જંગલી કાશ્મીરનાં માણસો આવું કામ કરે તેમાં શી નવાઈ! હે હિંદુસ્તાન ! તારી કારીગીરીને તું શા માટે ઉત્તેજન નથી આપતો? તારાં બચ્ચાંને તું કુશલ શામાટે નથી બનાવતો? કુદરત તો તારા પર પૂર્ણ કૃપા વર્ષાવી રહી છે. તેનો ઉપયોગ કેમ કરવો એજ શીખવાનું બાકી રહ્યું છે. જુલ્મની અંધારી રાત્રિ તો ગઇ છે. શત્રુઓનાં વાદળાં અદ્રશ્ય થઇ ગયાં છે. ઘાણ વાળતી તરવાર, રુધિરની નદીઓ ચલાવનારી સાંગો અને બરછીઓ હવે દિવાલ પરજ દેખાય છે ! તેતો હવે તારાં રમકડાં બની ગયાં છે, હવે તેનાથી ધાસ્તી રાખવાનું કાંઈ કારણ નથી. દુઃસ્વપ્નો દૂર થયાં છે, પ્રભાત થયું છે, પ્રહર એક સૂર્ય ચડી ગયો છે, અંધકારનો નાશ થયો છે, સોનાનાં નળિયાં થઇ ગયાં છે : હવે આંખ ઉઘાડ, ઊભો થા, કામે લાગ, તારા જે ભાઈઓ તને મદદ આપે છે તેઓનો આભાર માનીને તેની બરાબર થવા કોશીશ કર.
બ્રહ્માંડચક્ર પણ એક નિશાળ જેવું છે. ચડતી પડતી ઘટમાળની માફક થયાજ કરે છે. તારા સોબતીઓમાં તું સર્વોત્તમ હતો. હવે નીચો પડ્યો છે તેથી આંસુ પાડવાનું નથી. તેમ કરીશ તો વધારે નીચો જઈશ. તને ઊંચો કરવા તારા ભાઈઓ કોશિશ કર્યા જ કરે છે, પણ જ્યાં સુધી તું જરા પણ જોર નહિ કરે ત્યાં સુધી કાંઈ ફાયદો થવાનો નથી. પૂછલેલ બળદ પણ મદદ મળે ત્યારે બળ કરી ઊભો થાય છે. તારાં કળા કૌશલ્યનો લય નથી થયો, તેનું તેજ હજી ક્યાંક ક્યાંક ચળકી રહે છે. તેને મૂલ રૂપ પકડતાં વધારે વખત લાગશે નહિ. આ બાબતમાં વધારે લખવું એ હાલ જરૂરનું નથી. આટલું લખવાનું એજ કારણ છે કે, એક વસ્તુ જોઇ મારા મનમાં શું અસર થઇ તે આપ જાણો.
આ દુકાનો જોઇ અમે કિસ્તીમાં બેઠા અને પાછા અમારે ઉતારે આવ્યા. ઉતારાની ગોઠવણ મહારાજા તરફથી થઇ હતી, અમારા સાંભળવા પ્રમાણે અમારો ઉતારો બીજા બધા ઉતારા કરતાં સારો હતો, તોપણ તેમાં સેંકડો ઊંદરનાં દર હતાં. આ ઉપરથી આ ઉતારાથી ઊતરતા દરજ્જાનાં ઘર કેવાં હશે તેની સહજ કલ્પના થઇ શકશે.
- ‘लोभमूलानि पापानि’ એ સંસ્કૃત વાક્યની સત્યતા વખતોવખત જોવામાં આવે છે.
ક્રમશઃ
હવે પછી : પ્રકરણ ૪ તા. ૩-૧૧-૯૧
સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત
-
એક સાહિત્યિક તીર્થ અને તેમાં રહેલી પુસ્તકપ્રતિમાઓ – શ્રી કાવ્યનિમજ્જન અથવા ગુજરાતી કવિતામાં ઉંડા ઉતરવું
આદિમુદ્રિત ગ્રંથવૈભવ
નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.
‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્ક પર વાંચી શકાશે.
https://webgurjari.com/2025/12/15/vintage-classic-lierature-preface/
બીરેન કોઠારી

પુસ્તક ક્રમાંક: ત ૫૫૪/ ૧૦૨૫૦
પુસ્તકનું નામ: કાવ્યનિમજ્જન અથવા ગુજરાતી કવિતામાં ઉંડા ઉતરવું
રચી છપાવનાર: હરિકૃષ્ણ બળદેવ ભટ્ટ
છાપનાર: સુરત ઐરિશ મિશન પ્રેસ
પ્રકાશન વર્ષ: ઈ.સ.૧૮૯૩
કિંમત: દોઢ રૂપિયો
પૃષ્ઠસંખ્યા: ૨૭૬+ ૧૩
વિગત: ‘સુરત મિશન સ્કૂલમાં સંસ્કૃત શિક્ષક, હાલ અંકલેશ્વર ઈંગ્લિશ સ્કૂલના હેડમાસ્તર’ હરિકૃષ્ણ ભટ્ટે આ પુસ્તક ‘લોકોપયોગી ને શાલોપયોગી થાય એ ઉદ્દેશે’ રચીને છપાવ્યું હતું, જેને ‘ડિરેક્ટરસાહેબે મંજૂર કર્યું હતું.’ પ્રસ્તાવનામાં લેખકે જણાવ્યા અનુસાર કવિતા શીખવામાં શબ્દાર્થની સાથે વ્યુત્પત્તિ ને સમાસ, સ્પષ્ટાર્થ ને ગૂઢાર્થ, અર્થની ચમત્કૃતિ ને રચનામાં ચાતુરી, રસ ને અલંકાર- વગેરે ઘણું શિખવા શિખવવાનું છે. આ તમામ બાબતોને પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે.
પ્રસ્તાવના પૂરી થયા પછી વિવિધ લોકોના પુસ્તક વિશેના અભિપ્રાયોને સમાવવામાં આવ્યા છે. આ અભિપ્રાય ગુજરાતી તેમજ અંગ્રેજી એમ બન્ને ભાષામાં છે, એટલે કે મૂળ ગુજરાતીમાં લખાયેલા અભિપ્રાયનો અંગ્રેજી અનુવાદ પણ આપવામાં આવ્યો છે.
શામળ ભટ્ટ, દલપતરામ, દયારામ, નર્મદ, નરસિંહ મહેતા, પ્રેમાનંદ, ગિરધર, ધીરો, અખો- એમ નવ કવિઓનાં વિવિધ કાવ્યો શરૂઆતનાં ૮૬ પાનામાં છે. શામળ ભટ્ટ અને અખાનો ટૂંકમાં પરિચય પણ લખાયેલો છે. એ પછી ‘ટીકારંભ’ વિભાગમાં વિવિધ શબ્દોના અર્થ અપાયા છે. છેલ્લે ‘અલંકારપ્રકરણ’ વિભાગમાં અર્થાલંકાર અને શબ્દાલંકાર અંતર્ગત વિવિધ અલંકારોની સમજણ ઉદાહરણસહિત આપવામાં આવી છે.
આ પુસ્તક નીચેની લીન્ક પર વાંચી શકાશે.
https://rekhtagujarati.org/ebooks/harikrishna-baldev-bhatt-ebooks
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
જાગ્યાં ત્યારથી સવાર
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
જીવનસંધ્યાએ ઊભેલી કલ્પના આજે પાર્કના એ બાંકડા પર બેઠી હતી જ્યાં પાંત્રીસ વર્ષ પહેલાં એણે અને સુરેશે ભાવિ જીવનનાં સપનાં જોયાં હતાં.
એકદમ સ્વસ્થ એવો સુરેશ માત્ર બે દિવસની બીમારીમાં ચાલ્યો ગયો.
સુરેશ અને કલ્પનાનું દાંપત્યજીવન પ્રસન્ન હતું. સુરેશની સ્ટેટ બેંકની અને કલ્પના સરકારી ઑફિસની જોબ સાથે અશ્વિન અને અદિતિને મોટાં કરવાં, લગ્ન સુધીની જવાબદારી નિભાવવી કશું જ સહેલું નહોતું છતાં સ્નેહપૂર્વક પાર પાડ્યું હતું.
પહેલાં અશ્વિનને પરણીને શ્વેતા આવી ત્યારથી અદિતિ અને શ્વેતાને લાંબો સમય સાથે રહેવાની તક મળી. બંનેને એકબીજા સાથે ખૂબ ફાવતું. દિવસભરની નોકરી પરથી પાછાં આવીને બંને સાંજનું રસોડું સંભાળે ત્યારે ઘરનાં વાસણોનાં ખખડાટ સાથે બંનેનાં મુક્ત હાસ્યનો રણકાર ઘરને જીવંત બનાવતો. કલ્પના ખુશ હતી. સુરેશના ગયા પછી હવે આ ઘર હસતું થયું.
એ પછી અદિતિના લગ્ન થયા. શ્વેતા જેવી પુત્રવધૂ અને સતીશ જેવા જમાઈથી કલ્પનાનો પરિવાર પૂર્ણ હતો.
સૌનો સમય સુખેસુખે જતો હોય એવું ક્યાં હંમેશાં બને છે?
એક સાંજે અદિતિ પાછી આવી. સતીશને શરાબની લત લાગી હતી. સતત અદિતિ પાસે પૈસાની માગણી કરતો અને ન મળે તો મારપીટ.
વાત સાંભળીને સૌ સ્તબ્ધ. અશ્વિન-શ્વેતાએ સતીશને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ વ્યર્થ. સતીશ અદિતિના નામે ફ્લેટ કરીને ચાલ્યો ગયો.
અદિતિ હંમેશ માટે પાછી આવી ગઈ. કલ્પના એને હૂંફ અને અશ્વિન હિંમત આપતો. આશ્ચર્ય એ વાતનું થયું કે આજ સુધી અદિતિ સાથે હસતીરમતી શ્વેતા સાવ શાંત થઈ ગઈ.
એક સાંજે શ્વેતા ઘેર પાછી ન ફરી. શ્વેતાની ઑફિસ એની મમ્મીના ઘરની સાવ નજીક હતી. ક્યારેક એ મમ્મી પાસે જતી, પણ આમ કહ્યા વગર તો ક્યારેય નહીં. રાહ જોઈને અશ્વિને ફોન કર્યો.
“મમ્મીના પાસે છું?”
“હા.”
“રાત્રે પાછી આવીશ કે કાલે? તારા વગર કોઈને ગમતું નથી, હોં.”
“ભૂલી જજે એ બધી વાતો.”
“અરે, અહીં અદિતિને લીધે સૌ ચિંતિત છે અને તું આમ…..”
“હવે મારાથી એ બધું નહીં સચવાય. એ ઘરમાં મને ગોઠતું નથી.”
“ત્રણ બેડરૂમ, મા જેવી સાસુ, બહેન જેવી નણંદ અને ઘરમાં ગોઠતું નથી?” અશ્વિન વાત પૂરી કરે એ પહેલાં ફોન મુકાઈ ગયો હતો.
આઠ દિવસે પોતાનો સામાન લેવા પાછી આવી. અશ્વિન ગુસ્સામાં હતો.
કલ્પનાએ શ્વેતાને બોલાવી. શું થયું હશે? શ્વેતા કંઈ બોલે તો ખબર પડે ને?
પોતે તો શ્વેતા ને અદિતિમાં કોઈ ભેદ નહોતો રાખ્યો. અદિતિ અને શ્વેતાનો વ્યવહાર સખી જેવો હતો.
તો પછી અશ્વિન સાથે? આશંકા અને ઉચાટથી મન ફફડી ગયું.
“શ્વેતા…?
“એમ.બી.એ. કરવું છે. મમ્મીના ઘરથી યુનિવર્સિટી સાવ પાસે છે. ત્યાં મને વધુ અનુકૂળતા રહેશે.”
“બેટા, આપણા ઘરથી માત્ર વીસ મિનિટ વધુ થશે. ત્યાં મમ્મીની સર્જરીને માંડ બે મહિના થયા છે. એમનો ભાર વધારવાની શી જરૂર? જાણે છે ને પપ્પા હોત તો તું ભણવાનું વિચારે છે એ જાણીને કેટલા ખુશ થાત?
કલ્પના બોલતી રહી ને શ્વેતા સામાન લઈને ચાલી ગઈ.
કલ્પનાના કાલાવાલા, અશ્વિનનો આગ્રહ, અદિતિની આજીજી સઘળું વ્યર્થ ગયું.
શ્વેતા શું ગઈ, ઘરની રોનક ચાલી ગઈ. અદિતિના લગ્નવિચ્છેદને લઈને કલ્પનાના મનમાં ખેદ હતો. હવે અશ્વિનને ઘરમાં એકલો જોઈને એનો જીવ બળતો. અશ્વિન અને અદિતિની એકલતા એને કોરી ખાતી.
*******
શ્વેતા ભણવામાં હોંશિયાર તો હતી જ, પણ એમ.એ. કર્યા પછી નોકરીની આવશ્યકતા, લગ્ન, સમજી વિચારીને આગળ ભણવાનો વિચાર માંડી વાળ્યો હતો.
આગળ ભણવાની ઇચ્છા ત્રણ વર્ષે પૂરી થતી હતી. વધુ સારી નોકરી મેળવવાની શક્યતાઓથી એનું જોશ બેવડાયું. ભારે ઉત્સાહથી ભણવા માંડી
બે મહિના ક્યાંય પસાર થઈ ગયા.
શ્વેતાની બહેન વૃષાલી એના ત્રણ વર્ષના દીકરા કુણાલ સાથે અઠવાડિયા માટે મમ્મી સાથે રહેવા આવી. મમ્મીની સર્જરી પછી સાંસારિક જવાદારીઓના લીધે નીકળી શકી નહોતી. શ્વેતાનેય કેટલા વખતે મળાયું હતું !
વૃષાલી પતિની, દીકરાની, ઘરની, સાસુમાની વાતો કરતા થાકતી નહોતી. શ્વેતા શાંત હતી.
વૃષાલીના મનનો આનંદ ચહેરા પર છલકતો. વૈવાહિક જીવનનાં, માતૃત્વનાં પરમ સુખ અને સંતોષથી એ છલછલ હતી.
અઠવાડિયું તો ક્યાંય પસાર થઈ ગયું. વૃષાલીના જવાનો દિવસ આવ્યો. શ્વેતાએ એને વધુ રોકાવાનો આગ્રહ કર્યો.
“ના બાબા ના…જોતી નથી, પ્રશાંતના રોજે કેટલા ફોન આવે છે !? સાચું કહું શ્વેતા, મારા વગર પ્રશાંતનું અને પ્રશાંત વગર મારું જીવન જ અધૂરું. મમ્મીજી તો વળી હું નહીં હોઉં તો પોતાના ખાવાપીવાનુંય પૂરું ધ્યાન નહીં રાખતાં હોય એ વાત ચોક્કસ.”
એ દિવસે કૉલેજમાં શ્વેતાનું ચિત્ત ભણવામાં ન લાગ્યું. પુસ્તકનાં પાનાંઓમાં એને વૃષાલી, પ્રશાંત, એનાં સાસુમાના ચહેરા દેખાતા. થોડી થોડી વારે આવીને વૃષાલીને વળગી પડતો કુણાલ દેખાતો હતો.
કૉલેજ પૂરી થાય એ પહેલાં જ એ નીકળી ગઈ.
ઘેર આવીને અશ્વિનને ફોન કર્યો.
“અશ્વિન, હું ઘેર આવું છું.”
મમ્મીને પગે લાગીને નીકળી ત્યારે શાલિની ઓવારણાં લેતાં બોલી. “દીકરી, તને કેટલી વાર સમજાવી, પણ ….જવા દે એ વાત. જાગ્યાં ત્યારથી સવાર. જા, સૌને સુખ આપીને સુખી થજે.”
ઘરમાં એકલા અશ્વિનને જોઈને શ્વેતાને આશ્ચર્ય થયું.
અદિતિ એનાં ફ્લેટમાં રહેવા ચાલી ગઈ છે ને મા એની સાથે રહે છે, એ જાણીને આઘાત લાગ્યો.
“અશ્વિન, હમણાં જ જઈને બંનેને લઈ આવીએ.”
*****
કલ્પના એ જ બાંકડા પર બેઠી હતી. એકલી, થાકેલી, હારેલી..
“મા….”
“શ્વેતા..તું ? ક્યારે આવી?
“મા, ચાલો આપણાં ઘેર. અદિતિને પણ લઈ આવું છું. સૌ પહેલાંની જેમ સાથે રહીશું.” શ્વેતા કલ્પનાને વળગી પડી.
“જઈશું તો ખરાં, પણ તારું ભણવાનું ચાલુ રાખવાની શરતે; નહીંતર નહીં.”
“હા મા, પણ ઊભાં તો થાવ. પહેલાં અદિતિને તો લઈ આવીએ.”
કલ્પનાના મનમાં આનંદની લહેર ઊઠી. શ્વેતા અને અશ્વિનના હાથ થામીને ઘર તરફ ચાલી.
રત્નપ્રભા શહાણે લિખિત, લતા સુમંત અનુવાદિત વાર્તા -સૂઝ પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
