ચેન્જેબલ હોક-ઈગલ (Nisaetus cirrhatus), જેને ગુજરાતીમાં મોરબાજ તરીકે ઓળખવામાં આવે છે, એ ગુજરાતના શક્તિશાળી નિવાસી શિકારી પક્ષીઓમાંનું એક છે. તે મોટું ગરુડ જેવું પક્ષી છે, જેના પહોળી પાંખો, લાંબી પૂંછડી અને માથા પરની કલગી તેને સરળતાથી ઓળખી શકાય તેવું બનાવે છે. શિયાળામાં ગુજરાતમાં આવતા ઘણા સ્થળાંતર કરનારા શિકારી પક્ષીઓથી વિપ્રીત, મોરબાજ વાર્ષિક સ્થળાંતર કર્યા વિના આખું જીવન એક જ વિસ્તારમાં પસાર કરે છે.
અંગ્રેજીમાં તેનું નામ “ચેન્જેબલ હોક ઇગલ” તેના બે અલગ અલગ રૂપ પર થી જોવા મળે છે, અમુક પક્ષીઓ આછા સફેદ અને ભૂખરા રંગના હોય છે જેને અંગ્રેજીમાં “પેલ મોર્ફ” કહેવાય છે, અને અમુક પક્ષીઓ ઘાટા ભૂરા અને કાળાશ પડતા ભૂરા રંગના હોય છે, તેમને “ડાર્ક મોર્ફ” કહેવાય છે.
[મોરબાજ પેલ મોર્ફ (Changeable hawk eagle pale morph)]
[Changeable hawk eagle; dark morph]મોરબાજ નામ પાછળની વાર્તા પણ ખૂબ રસપ્રદ છે. જૂના સમયમાં લોકો પાસે મનોરંજનનાં આજના સમય જેટલાં સાધનો નહોતાં. પ્રકૃતિને નિહાળવું એ પણ મનોરંજનનો એક ભાગ હતું. કોઈ વિશાળ બાજ જેવું પક્ષી અચાનક મોર પર હુમલો કરીને તેને સરળતાથી પકડી લે તે જોવું ખૂબ જ અદ્ભૂત દૃશ્ય હશે. કદાચ આ કારણે લોકો તેને મોરબાજ; મોરનો શિકાર કરનાર બાજ કહેવા લાગ્યા હશે. મોર ખરેખર તેના સંભવિત શિકારમાં સામેલ છે, જોકે તેનો આહાર માત્ર મોર પૂરતો સીમિત નથી.
ગુજરાતમાં મોરબાજ મુખ્યત્વે ગીર અને રાજ્યના અન્ય જંગલ વિસ્તારોમાં જોવા મળે છે. જોકે તે માત્ર ગાઢ જંગલ પૂરતો સીમિત નથી. જ્યાં જંગલની સાથે ખેતી, ઝાડી ઝાંખરા અને ખુલ્લી જમીન હોય ત્યાં પણ તે જોવા મળી શકે છે. મોટા વૃક્ષો તેને માળો બાંધવા, આરામ કરવા અને શિકાર પર નજર રાખવા માટે જગ્યા આપે છે. જ્યારે જંગલની ધાર, ખુલ્લા વિસ્તારો અને આસપાસની જમીન શિકાર માટે ઉપયોગી બને છે.
મોરબાજ એક શક્તિશાળી શિકારી છે. તે ઘણીવાર ઊંચી ડાળી પર શાંતિથી બેસીને આસપાસના વિસ્તારમાં શિકાર શોધે છે અને યોગ્ય તક મળતાં અચાનક નીચે ઝપાટો મારે છે. તેનો આહાર ખૂબ જ વૈવિધ્યસભર છે. તેના શિકારમાં ગરોળી, કાચિંડા, ખિસકોલી, ઉંદર, ચામાચીડિયા અને મેના, બુલબુલ, પોપટ, કબૂતર તથા વિવિધ જમીન પર રહેતા પક્ષીઓનો સમાવેશ થાય છે. મોર પણ તેનો શિકાર બની શકે છે. કેટલાક સ્થળોએ મોરબાજ દ્વારા નાના મગરનાં બચ્ચાંનો શિકાર કર્યાના અહેવાલો પણ મળ્યા છે. આવી ઘટનાઓ અસામાન્ય છે, પરંતુ તે મોરબાજની શિકાર કરવાની ક્ષમતા અને ઉપલબ્ધ તક પ્રમાણે શિકાર પસંદ કરવાની ટેવ દર્શાવે છે.
[ગીરના જંગલમાં મોરબાજ એક મોટા ચામાચીડિયા (ફ્રૂટ બેટ)ના શિકાર સાથે]મોરબાજનું નિવાસી પક્ષી હોવું પણ રસપ્રદ છે. સ્થળાંતર કરનારા પક્ષીઓ ઋતુ પ્રમાણે એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જાય છે અને જ્યાં ઋતુ મુજબ ખોરાક વધુ હોય ત્યાં તેનો લાભ લે છે. પરંતુ નિવાસી પક્ષીને આખું વર્ષ લગભગ એક જ વિસ્તારમાં રહેવું પડે છે. તેને ઉનાળાની ગરમી, ચોમાસું, શિયાળો અને ઋતુ પ્રમાણે ખોરાકમાં થતા ફેરફારોનો સામનો કરવો પડે છે.
નિવાસી પક્ષીને પોતાના વિસ્તારની પણ સારી જાણકારી હોય છે. કયા વૃક્ષ પર માળો બનાવી શકાય, ક્યાં શિકાર વધારે મળે છે અને કઈ જગ્યાએ બેસીને શિકાર પર નજર રાખી શકાય છે, આ બધું તે લાંબા સમય દરમિયાન શીખી શકે છે. તેથી એક જ વિસ્તાર ઘણા વર્ષો સુધી તેના માટે મહત્વનો બની શકે છે.
મોરબાજનું સંરક્ષણ માત્ર મોરબાજને બચાવવા પૂરતું નથી. મોરબાજની હાજરી એ દર્શાવે છે કે તે જંગલ અથવા લેન્ડસ્કેપ જૈ વૈવિધ્યથી સંપન્ન છે અને પૂરી રીતે સ્વાવલંબી છે.
આગલી વખતે ગુજરાતના કોઈ જંગલ કે જંગલની ધાર પર ઊંચા વૃક્ષ પર કલગીવાળું મોટું ગરુડ જેવું પક્ષી બેઠેલું અથવા વહેલી સવારે મસ્ત કિકિયારીઓ મારતું જોવા મળે, ત્યારે ધ્યાનથી જોવું અને જંગલના આ રોયલ પક્ષી ને જરૂરથી નિહાળવું!
“ માળું આનું કારણ શું ? ઓણના વરહમાં વરસાદ ખૂબ સારા વરસ્યા, રોગ-જીવડાની કનડગત પણ હર વરહના પ્રમાણમાં ખૂબ ઓછી રહી અને ખેડૂતોએ ખાતર-પોતર અને સાંતી-સડની માવજત પણ સારા વરહની લાલચે ને લાલચે એવી કરી હતી કે મોલાતે જ્યાં પાણી માગ્યું ત્યાં દૂધ હાજર કર્યું હતું. પણ મારા ખ્યાલે ચોમાસુ કે શિયાળુ એકે ય મોલની ઉપજમાં આપણ ખેડૂતના કોઠા ઠારે એવો હોંકારો નથી મળ્યો. આ બાબતે તમારું શું કહેવાનું છે પોપટભાઇ ?” કૃષિ વિકાસ મંડળની મીટીંગમાં કૃષિ.યુનિ.જુનાગઢના વિષય નિષ્ણાંત –મુખ્ય મહેમાન આવી પહોંચે તે પહેલાના અંદરોઅંદરના “અનુભવની આપલે” કાર્યક્રમની વેળાએ “ઓણનું વરહ કેવું રહ્યું ?” એ વિષય પરની ચાલતી ચર્ચામાં ઠાકરશીભાઇએ પોતાનો બળાપો કાઢ્યો.
“તમારા આ અભિપ્રાયે ઠાકરશીભાઇ ! મારા મનની જ વાત કરી દીધી. મને ય એમ જ લાગ્યું છે કે એક કહેતાં એકે ય મોલમાં ઉતારા બાબતે ઓણ સાલ ભલીવાર ભળાણી નથી. અમારી બાજરીનો પ્લોટ નિંઘલ્યો ત્યારે ઘેરા ઉપર ડૂંડાની ખાપ બાજી ગઈ હતી. ડૂડાની ભરતી અને એનું રૂપ જોઇને વીઘે ચાલીશ ચાલીશ મણ ઉતરી પડશે એવી ‘ઢાળ’ નજરે જોનારા બધા મૂકતા હતા. પણ ખળું લીધું ત્યાં ‘ઢાળ’ ની હવા નીકળી ગઈ ! વીઘે માંડ 28 મણ જેવો ઉતારો આવ્યો.” પોપટભાઇએ ઠાકરશીભાઇના અભિપ્રાયમાં શાખ પૂરી.
“ ઓણના વરહમાં કંઇક એવું બન્યું છે કે બધી મોલાતો ‘ઉતારા’ બાબતે જોઇએ તેટલું હીર દેખાડી શકી નથી. અમે કપાસના પાટલામાં અરધામાં મગ અને અરધામાં અડદનો ચાસ વાવેલો. બન્નેમાં છોડવા ખૂબ ફાલ્યા. આવેલી શીંગો જોઇ હોય તો લાંબી સાંઘરા જેવી ! પણ અંદર દાણા જે સાત-આઠ હોવા જોઇએ –એને બદલે ત્રણ ત્રણ ને ચચ્ચાર જ ! એક બ્લોક જી-20 મગફળીનો હતો. એમાંયે બસ એવું જ થયું ! છોડવા જોયા હોય તો નજર ત્યાં જ ઠરી જાય તેવા પહટેલા ! અને છોડવો ખેંચીએ તો શીંગો યે વળગેલી નીકળે મોટી ડઘોરા જેવડી ! પણ અંદરથી પોલી ભમ ! ફોફું લોંઠકું ને અંદર દાણા માયકાંગલા ! ચકલાની જીભ જેવા-કરચલી વાળા ! ધારણા તો એવી હતી કે ઉતારો બેસશે વીઘે ખાંડી ખાંડી ! પણ તમે કહો છો એ વાત સાચી કે આ વરહમાં કંઇક એવું વાંકું પડી ગયું છે કે જે કળ્યામાં તો ભલે નથી આવ્યું, પણ એની માઠી અસર ઓછા ઉતારામાં જરૂર દેખાઇ આવી છે. અમારે મગફળી ઉતરી 8 વીઘામાંથી માત્ર છ ખાંડી બોલો !” રાજનભાઇએ પણ પોતાને થયેલ અનુભવની વાત કરી.
મને તો ઘણી યે વાર થયો છે. તમને પણ ઠાકરશીભાઇ, પોપટભાઇ અને રાજનભાઇને થયો તેવો અનુભવ-જો બરાબરનું નિરિક્ષણ કર્યું હોય તો થયો હોવો જ જોઇએ. તો મિત્રો ! આમ થવાનું દેખીતું કારણ કોઇ ન જડે ત્યારે આપણા વડવાઓ આવા વરહને “કણહિણું વરહ” કહેતા. અને “એના નિરાકરણની આપણા હાથની વાત નથી, એ તો પ્રકૃતિના ‘સવા-કવા’ ના હાથની વાત છે” એમ કહીને મન મનાવતા.
સવા –કવા એટલે શું ? કોઇ પણ ઘટના પાછળ કોઇને કોઇ વૈજ્ઞાનિક કારણ તો હોવાનું જ ! એટલે ‘સવા’ એટલે શું ? અને ‘કવા’ એટલે શું – એ કોના હિસાબે આવ્યા-ગયા કરે છે તે સમજવું આપણા માટે અગત્યનું થઈ પડે છે. તો મિત્રો ! સવા = સારો વાયરો અને કવા=ખરાબ વાયરો એવો અર્થ આપણે કરી શકીએ. ઉત્પાદન બાબતે બધી વાતાવરણીય બાબતો અનુકૂળ રહે તે ‘સવા’ અને ખાતર-પાણી અને અન્ય માવજતો બરાબરની કરી હોવા છતાં કંઇક એવા ફેરફાર સર્જાય કે જેના હિસાબે ઉત્પાદન પર માઠી અસરો આવી જાય એનું નાક ‘કવા’ ! જરા ઊંડા ઉતરીને નિરિક્ષણ પરિક્ષણ પાછળ સમય આપીએ તો જરૂર જણાઇ આવશે કે એ હતી વરસ દરમ્યાન મોલાતને સમયે સમયે મળવી જોઇતી કુદરતી વાતાવરણની ખામી !
જરૂરિયાત બધાની છે.: જેમ છોડવાને ઊભવા અને ખોરાક મેળવવા માટે પૂરી ફળદ્રુપ અને સારા બંધારણવાળી જમીન હોવી જરૂરી છે, તેમ ઉગવાથી માંડી પાકટ અવસ્થા સુધી મૂળ વિસ્તારમાં જરૂરી ભેજની હાજરીની જરૂર છે, જેમ એની ઉપર આવનારા રોગ-જીવાતના હુમલા વખતે દવા-દારુ અને સાથ-સહકારની જરૂર છે, તેવું જ વનસ્પતિના ઉગવાથી માંડી આખર સુધી જે જે વનસ્પતિના સ્ટેજ કે સમયને અનુકૂળ હોય તેવા “વાતાવરણ” ની પણ એટલી જ જરૂરિયાત હોય છે. વનસ્પતિ પોતે સંપૂર્ણરીતે પ્રકૃતિના જ આદેશને અનુસરનાર જીવ હોઇ, જ્યારે જ્યારે વાતાવરણમાં અણધાર્યા અને વણકલ્પ્યા હુકમો આવી ચડે ત્યારે એ પોતાના જીવનચક્રમાં પણ બદલાવ લાવ્યા વિના રહી શકતી નથી. જેથી ખાતર, પાણી અને સંરક્ષણ બધાં બરાબર રીતે સચવાયા હોવા છતાં વાતાવરણ યોગ્ય ન રહ્યું,તેની ઉત્પાદનના જથ્થા ને ગુણવત્તા પર માઠી અસર આવ્યા વિના રહેતી નથી.
વાતાવરણમાંથી વનસ્પતિ માત્ર પોતાને શ્વસનમાં જરૂરી ઓક્સીજન જ મેળવે છે એવું નથી, વરસાદ વખતે નાઇટ્રોજન પણ એ વાતાવરણમાંથી પામી શકે છે. તે સૂર્યસૂર્યપ્રકાશની હાજરી વખતે કાર્બન ડાયોકસાઈડનો પણ પોતાનો ખોરાક રાંધવા માટે ભરપેટ ઉપયોગ વાતાવરણમાંથી જ કરે છે. વળી વાતાવરણના ભેજ કે ગરમીના પ્રમાણમાં વધ-ઘટ થાય તો પણ વનસ્પતિમાં હરતા-ફરતા ને તેના અંગ-ઉપાંગોને ખોરાક તરીકે વાપરતા કે તેમાંથી રસ ચૂસતા જીવડાંઓની હયાતી, સંખ્યા અને વધ-ઘટ બાબતે પણ એટલા જ ફેરફારો થતા રહેતા હોય છે. વળી કેટલાક ફૂગ-વાયરસના રોગકારક વિષાણુંઓ પણ વાતાવરણીય ઠંડી-ગરમી કે ભેજયુક્તતાને ધ્યાને લઈ વધઘટ થવા પામતા રહેવાનાં.
એટલે આખી સિઝન દરમ્યાન વાતાવરણ મોલાતને અનુકૂળ રહ્યુ છે કે રહ્યુ છે પ્રતિકૂળ ? તેની બહુ મોટી અસરો ઉત્પાદન ઉપર પડતી હોય છે. આપણે એવા કેટલાક ઉદાહરણ તપાસીએ કે જેમાં કેવળ વાતાવરણે આવો ભાગ ભજવ્યો હોય !
આ રહ્યા બોલતા પૂરાવા :
[૧] પાંદડાંદજાડીદીધાંહોય : અમારો ગઢડા તાલુકો એટલે ગણાય સૂકો વિસ્તાર. અહીં ઉનાળો હોય વધુ આકરો ! ગયા વરસે [2010] કેટલાક સાહસિક ખેડૂતોએ કેળ અને પપૈયાના વધુ વળતરની ધારણાએ પોતાના ગજા પ્રમાણેનાં વાવેતર કરેલાં. બન્યું એવું કે ચોમાસુ સાવ નબળું રહ્યું અને શિયાળો પૂરો ઠર્યો નહીં. એટલે ચોમાસા-શિયાળા દરમ્યાન કેળ-પપૈયાના છોડવા ધાર્યો વિકાસ સાધી શક્યા નહીં ત્યાં પહોંચી ગયો ઉનાળો ! કેળ અને પપૈયા બન્નેનાં પાંદડાં હોય પતંગ જેવા પહોળા અને કાગળ જેવા પાતળાં ! અને હોય પાછા એવા કુમળા, કે એને તો હવાના આંચકા યે ફાડી નાખે ! અને ઓણના ઉનાળાનો તડકો જાણે ધગધગતી આગની ઝાળો ! કેળ- પપૈયાના પાંદડાં એ તાપ ન જીરવી શક્યાં. પાંદડાંની નસો બધી ગઈ દાજી અને સપાટી બધી ગઈ શેકાઇ ! શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ બન્ને કાર્યો ખોરંભાયા ! ન સમયસર પપૈયા પાક્યા કે ન કેળની લૂમ ! સિઝન આખી ખોઇ બેઠા ! ખાતર-પોતર ને દવા-દારૂ બાબતે છોડવાને મોઢે માગી માવજત – કહોને ગાદલું અને ગોદડું બે સિવાય બધું આપ્યું હતું ! છતાં આ સૂકા વિસ્તારનું ગરમ વાતાવરણ ખેતીવાડીના સુંવાળા છોરું કેળ-પપૈયા બન્નેને ભરખી ગયું 1
[૨] ફલીકરણમાં વાંધો પડે :
[અ]…….અમારા પંચવટી બાગમાં આમળાંના ઝાડવાનો મોટો ઘેરો છે. આ ઝાડવાની આદત એવી છે કે ફૂલો ખિલવે શિયાળા-ઉનાળાની બરાબર ગડાસાંધ જોઇને ! જ્યારે ઠંડી-ગરમી બન્ને હોય માપસરના. આમળાના નર-માદા ફૂલોની રજ-મિલન પ્રક્રિયાને આ ઋતુ બહુ અનુકૂળ ! ઠંડી વધુ હોય તોય નો ફાવે અને ગરમી વધુ હોય તો પણ વાંધો પડે 1
ચાલુ વરસે સિઝન આખીનો વરસાદ પડ્યો માંડ ૫ ઇંચ. એટલે પિયતના પાણીની તો ખેંચ જ હોવાની ? સૌરાષ્ટ્ર વિસ્તારમાં ફળો ઉતારી લીધા પછી આરામ ઉપર ઊતરી ગયેલા ઝાડવાને થોડુક પિયત દેવાય તો જ એ સમાધી અવસ્થામાંથી જાગૃત થઈ, નવા ફૂલ ધારણ કરવા પ્રેરાય છે. ટપક દ્વારા પિયત આપવાની મથામણ તો કરી, પણ એમાંયે પાણી ઓછું પડ્યું, ને આરામ અવસ્થામાંથી જાગૃત થતાં લાગી વાર ! અને ઉનાળાની ગરમી આંબી ગઈ ! મોડાં મોડાં યે ઝાડવાં પર ફૂલો તો ખિલ્યાં, પણ સમધાત ઠંડી-ગરમીનો ગાળો છાંડી જવાયો. મોડા પડ્યા. અને કાળઝાળ ગરમીમાં કોમળ પ્રજનન અવયવો તેના મિલન પહેલાં જ મરુ બની ગયા ! ને આમળાંના ઝાડવાં ફાલ વિનાનાં ખાલી રહી ગયાં !
[બ]……….બાજરાનો ઘેરો બરાબર થૂલીએ આવ્યો હોય અને ઝરમર ઝરમર વરસાદ વરસવાનો શરૂ થાય, આકાશ આખું વાદળોથી ઢંકાયેલું જ રહે, ૪ – ૫ દિવસ ઉઘાડ દેખાય જ નહીં, એટલે બાજરાનાં ડૂંડાંની શી વલે થાય ? કલ્પના કરો જોઇએ ! ઉપરથી સૂર્યપ્રકાશ મળે તો થૂલી સુકાય, અને થૂલી સુકાય તો જ ફૂલોની રજ ઊડેને ! ઘણા દાડે વરસાદ બંધ થાય ત્યાં તો ફૂલોને ખિલવાની વેળા જ વીતી ગઈ હોય ! કેટલાય ફૂલડાં વાંઝિયા રહી જવા પામે ! ડૂંડાં હોય ફટાફટ ફાંટ ભરાઇ જાય એવડાં, પણ અંદર દાણા બાબતે અરધોઅરધ હોય ખાલી ! બાજરો ઉતારો લે ક્યાંથી ? આપણે માનીએ વરહ “કણહીણું” થયું, પણ આમ થવા પાછળનો જશ તો ફૂલો વખતના પ્રતિકુળ વાતાવરણને જ ભાગે જાય ને ?
[૩] સ્વભાવ બદલી નાખે :
[અ ]……….દિવેલાના બીજ-ઉત્પાદન પ્લોટમાં અનુભવ્યું છે કે સામાન્ય રીતે ‘માદા’ ના છોડ પર ‘નર’ ફૂલો નથી આવતા. પણ જો વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે તો માદા છોડવા પણ નર ફૂલો ખિલવવા લાગી પડે છે. [જે રોગીંગના રૂપે કાઢી નાખવા પડે છે] જે દિવેલાના છોડનો સ્વભાવ માત્ર ‘માદાફૂલો’ જ ખિલવવાનો હતો તેને વાતાવરણ પોતાનું ધાર્યું કરાવી ‘નરફૂલો’ ખિલવતું કરી દે, એ કાંઇ જેવી તેવી આડોડાઇ ગણાય ? અને એનાથી સાવ ઉલટું- ખલેલાના ‘નર’ ઝાડને કદિ ‘માદા’ ફૂલો ખિલતા હોતા નથી. પણ 2010 ની સાલના ઉનાળાના વાતાવરણે પંચવટી બાગના એક નરના ઝાડવાને ‘માદા ફૂલો’ જથ્થાબંધ ખિલવ્યા અને ફળોનું બંધારણ પણ અમારી અજર સામે જ ગોઠવી દીધું હતું બોલો !
[બ]……..ગાજર અને ડુંગળીની વાવણી સામાન્ય રીતે ચોમાસુ પુરું થયે કરાય. શિયાળાનું ઠંડું અને સુકું હવામાન ગાજરના ગડા અને ડુંગળીના દડા બનાવવામાં બહુ અનુકૂળ ! પણ જો વાતાવરણ થોડુકેય માપથી વધુ ગરમ બન્યું ? તો પછી વાત ગઈ ! એ ના એ જ ગાજરના છોડવામાં ‘ગાજરા’ બની જઈ, ઉપર ફૂલના મોટા ગોટા ખિલવી દે, અને ભોંયમાં ગાજરના ગડા બનવાને બદલે બની જાય સોટી જેવું પાતળું મૂળિયું ! ડુંગળીબાઇ પણ ભોંયમાં દડાને મોટો કરવાનું બંધ રાખી ઉપર કાઢી જાય ‘મોઘરા’ ! કંદ બનાવવાની તાકાતને ફેરવી દે બીજ બનાવવામાં. ઉત્પાદનનો જથ્થો અને ગુણવત્તા બન્ને બની જાય રાંક !
[૪] ફાલની ઋતુ બદલાવી નાખે :
[અ]………શ્રી મનુભાઇ પંચોળી[દર્શક] ની સ્થાપેલી લોકશાળા ‘મણાર’ આવી અલંગના દરિયા કાંઠે. ત્યાં કેસર આંબા, નાળિયેરી અને ચીકુના ઝાડવાં આવકમાં ખૂબ સારો હોંકારો આપે છે. પણ આમળાંના ઝાડવાંને એનું વાતાવરણ એવું વાંકુ પડાવે કે વાત કરવાની નહીં ! ફૂલો આવે ફેબ્રુઆરી-માર્ચ માસમાં-યોગ્ય સમયે જ. પણ અન્ય વિસ્તારોમાં જેમ સીડસેટીંગ પછી એનું નાનું ભૃણ ચાર મહિના સુશુપ્તાવસ્થામાં ચાલ્યુ જાય, તેવું અહીંના વાતાવરણમાં બને નહીં ! અહીં તો ફલીકરણ થયા ભેળું બચડું માંડે વધવા ! તે શ્રાવણ-ભાદરવો આવતા તો પાકીને ટહા જેવું થઈ માંડે કહેવા કે ‘હવે મને ઉતારો’ ! એ વખતે વેચાણ માટે માર્કેટમાં લઈ ગયે કોઇ ગ્રાહક કે વેપારી સામુ જ ના જૂએ ! કોઇ ધણી જ ના થાય એનું શું ? આમળાંનો સાચો ઉપયોગ શિયાળે ઠંડી શરૂ થયા પછી જ લોકો કરે. કરવું શું ? કટાણે પાકેલા આમળાં નાખવા ક્યાં ? ઝાડવા ખોદી નાખવા પડ્યા બોલો ! અને એનું નિમિત્ત ‘વાતાવરણ’ બન્યું.
[બ]…. ૨૦૧૦ નો ઉનાળો શરૂ થતાં કંઇક એવી જાતનું વાતાવરણ સર્જાયું કે આંબા, લીમડા અને ગુંદા–ત્રણેયના ઝાડવાં છેતરાઇ ગયાં ! ઠંડી-ગરમીનો કંઇક એવો મેળ બેસી ગયો કે વૃક્ષો એવા ભ્રમમાં પડી ગયા કે ‘આપણી ફળવાની ઋતુ આવી ગઈ’! અને માળાં ફૂલો માંડ્યાં ખિલવવા ! તે ચાર મહિના અગાઉ લીમડે લીમોળી પાકી પડી અને કેરી તો પાકીને બજારમાં વેચાવા પહોંચી ગઈ ! આ ‘કટાણે’ ફાલ લગાડી દેવા પાછળ ખરચાઇ ગયેલી ત્રેવડનો ઘોબો ‘ટાણાહર’ ની ફાલની વેળાએ પડ્યા વિના થોડો રહેવનો કહો !
[૫] પાકના વર્ધન-ઉત્પાદનમાં અવરોધ સરજે : જે વરસે શિયાળામાં પૂરી ઠંડી ના પડે, તે વરસે ઘઉંના છોડવાને ફૂટ્ય ઓછી થાય, તેનો વિકાસ અવરોધાય, ઉપર ડૂંડી ટુંકી નીંઘલે અને ડૂંડીમાં દાણાની સંખ્યા ઘટે. અને બંધાયેલા દાણા પણ ન હોય પૂરા પોઢા કે ન હોય વજન બાબતે પૂરા નક્કર ! પછી ઉતારો લે કેમ કરીને કહો ! આવું જ શિયાળુ મોલ બધા- જીર, મેથી, ધાણા, રાઇ, ઇસબગુલ, વરિયાળી કે એરંડા સુધ્ધામાં યોગ્ય વાતાવરણ ન મળે તો ઉત્પાદન પર માઠી અસર પડ્યા વિના રહેતી નથી.
[૬] રોગ-જીવાતનો વધારો વહોરી ‘કવા’ લાવે : તમે જૂઓ ! ચોમાસુ હોય એટલે હવામાં ભેજની હાજરી હોવાની.અને એમાં જો ગરમી શરૂ થઈ ? એટલે ઉપદ્રવી જીવડાઓને તો ગોળના ગાડાં મળી જાય ! એની વંશવૃદ્ધિનું ચકરડું બમણા-ત્રમણા જોરથી ફરવા માંડે ! એનો તો કાળો કેર શરૂ થાય ! જમીનજન્ય રોગો પણ ભોંયમાંથી માથાં કાઢે ! કહો, આ બધાથી ઉત્પાદન બાબતે ભૂંડો અકસ્માત સરજાય કે નહીં ? અને આનો જશ બસ, વાતાવરણને જ દેવો પડેને ? તમારું શુ કહેવાનું છે, કહો !
આ વાતને નક્ષત્રોનો ટેકો : ચોમાસામાં ક્યા નક્ષત્રમાં કેવું વાતાવરણ હોય છે, અને આ ટાણે વરસેલો વરસાદ કેવા પરિણામ લાવે એનો વર્ષો સુધી અભ્યાસ કર્યા પછી ખેડૂતોના વડવાઓએ તારણ કાઢ્યાં છે-આદ્રા, મઘા અને પૂર્બા-સ્વાતિ જેવા મીઠાં નક્ષત્રોમાં વરસેલા વરસાદે મોલાતમાં ‘સવા’ જ આવે. જ્યારે અષલેખા,અને પૂનરવસુ જેવાને કડવા તથા હાથિયાને તોફાની નક્ષત્રો ગણાવ્યા છે. એમાં વરસેલા વરસાદે રોગ-જીવાત કે ‘કવા’ લાવે તેવા અનુમાનો કર્યા છે, તે બસ ! ‘વાતાવરણ’ ને જ ધ્યાને લઈ કરેલા જણાય છે. પ્રકૃતિએ વનસ્પતિને વાતાવરણીય ફેરફારોને આધિન રહીને વર્તન કરવાનો આદેશ આપેલો છે. તમે જૂઓને ! દિવાળીટાણું આવે આવે ત્યાં મેડા માથે પડ્યા પડ્યા ડુંગળીના દડા-નહીં જમીન કે નહીં ભેજ તો પણ –આપમેળે પાંદડાં કાઢવા માંડે ! અને લસણના ગાંઠિયા માહ્યલી કળીઓ લીલાં મોઢાં કરી કરી ફોતરાંની બહાર ડોકાવા માંડે ! આપણે સમજી જવું જોઇએ કે લસણ-ડુંગળીનો હવે વાવણીનો સમય પાકી ગયો છે ! આવા રોજ-બરોજના વાતાવરણીય ધ્યાનથી નિરિક્ષણ કરી-સમય સાચવી ખેતીકાર્યો કરી વાળનારા ખેડૂતો ઉત્પાદન બાબતે જરૂર સફળતા મેળવતા હોય છે.
ભારતની વૈજ્ઞાનિક સંસ્થાઓની વાત આવે ત્યારે ‘ઇસરો’ (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)નું નામ વાજબી ગૌરવથી લેવામાં આવે છે. મર્યાદિત સંસાધનો હોવા છતાં સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દે એવી સિદ્ધિઓ આ સંસ્થાએ પ્રાપ્ત કરી છે. આથી જ તે કેવળ એક સરકારી સંસ્થા નથી, પણ તેને ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાનું પ્રતીક ગણાવી શકાય. આવી સંસ્થાના વરિષ્ઠ અને અનુભવી વિજ્ઞાનીઓ ખાનગી અવકાશ કંપનીઓમાં જોડાવા માટે રાજીનામાં આપવા લાગે, તેને એક એવી ચેતવણી ગણવી જોઈએ, જે સરકારને આત્મદર્શનની એટલે કે અરીસામાં જોવાની ફરજ પાડે. ઊચ્ચ વળતર માટે વિજ્ઞાનીઓની લાલચ કે બહેતર ભવિષ્ય માટે નોકરી બદલવા જેવા ઊપરછલ્લા મુદ્દાઓમાં આ મામલો સમેટી લેવાય એવો નથી. મૂળ સવાલ એ છે કે સરકાર આ બાબતને શી રીતે જુએ છે?
એ હકીકત છે કે ખાનગી કંપનીઓ માટે ભારતમાં અવકાશનું ક્ષેત્ર ખુલ્લું મૂકાયા પછી અનેક નવી તકો ઊભી થઈ છે. આમ તો, આ વિકાસનો સ્વાભાવિક ક્રમ છે, કેમ કે, વિવિધ ક્ષેત્રે ખાનગી કંપનીઓનો પ્રવેશ થવાથી સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થાય અને ગ્રાહકને વધુ વિકલ્પ મળે એ આશય છે. આ સંજોગોમાં ‘ઇસરો’ના કેટલાક વિજ્ઞાનીઓ ખાનગી ક્ષેત્ર તરફ વળે, તો એમાં કશી નવાઈ ન લાગવી જોઈએ. પણ અહીં મુખ્ય ફરક અન્ય ક્ષેત્ર અને ‘ઈસરો’ વચ્ચેનો છે. સવાલ એ નથી કે તેઓ શા માટે જાય છે; મૂળ સવાલ એ છે કે તેઓ કયા કારણે ‘ઇસરો’ છોડી રહ્યા છે.
આવા નાજુક મુદ્દે સરકાર સામાન્ય રીતે નિયંત્રણના હથિયારથી કામ લેતી હોય છે. જેમ કે, રાજીનામું મૂકીને ગયા પછી એ સરકારી કર્મચારી અમુક સમય સુધી ખાનગી કંપનીમાં નોકરી ન કરી શકે, એ અંગેના નિયમોને વધુ કડક બનાવવામાં આવે વગેરે.. પણ આ ઊપાયો ખરું જોતાં કેવળ રોગનાં ચિહ્નોનો ઈલાજ કરે છે. મૂળ રોગ એમનો એમ રહે છે. કોઈ પણ વ્યક્તિને સંસ્થામાં રોકી રાખવાનો સૌથી હાથવગો રસ્તો પ્રતિબંધોનો છે. પણ કોઈ પણ ભોગે વ્યક્તિ નોકરી છોડવા ઈચ્છતી હોય, અને એનું મુખ્ય કારણ પોતાની કારકિર્દીની બહેતર તક હોય, તો પ્રતિબંધો ખાસ કારગર નીવડતા નથી.
‘ઇસરો’ની છબિ અને ત્યાંની કાર્યસંસ્કૃતિ અત્યાર સુધી બિનવિવાદાસ્પદ અને ગૌરવપ્રદ બની રહી છે. પડકારજનક કામ, રાષ્ટ્રીય ગૌરવની અનુભૂતિ અને વિશ્વસ્તરીય પ્રોજેક્ટ પર કામ કરવાની તક જેવી વિવિધ બાબતોનો સંગમ ત્યાંની નોકરીમાં થયેલો છે એમ કહી શકાય. અલબત્ત, આ પાસાં બહારની વ્યક્તિને આકર્ષક જણાય, પણ અંદર રહીને કામ કરનાર તેને જુદી દૃષ્ટિએ જોતા હોય એમ બને ખરું. વ્યક્તિગત વિકાસની ગતિ, પ્રમોશનની પારદર્શિતા, સંશોધનની સ્વતંત્રતા, યોગ્ય વેતન, નવી જવાબદારીઓ અને ભવિષ્યની તકો જેવાં પાસાં પણ તેઓ જોતા હોય છે. આવા મામલે સરકારી માળખું પાછળ રહી જાય તો અસંતોષ પેદા થવો સ્વાભાવિક છે.
અલબત્ત, ભારત માટે આવો પડકાર નવો નથી. થોડાં વર્ષ પહેલાં ભારતીય હવાઈ દળને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અનુભવી પાયલટો સમય પહેલાં નિવૃત્તિ લઈને ખાનગી એરલાઇન્સમાં જોડાવા લાગ્યા હતા. એમાં પણ શરૂઆતમાં નિયમોને વધુ કડક કરવાની વાત ચાલી, પણ બહુ ઝડપથી ખ્યાલ આવી ગયો કે કેવળ પ્રતિબંધથી એ પ્રશ્ન ઉકેલાવાનો નથી. આથી હવાઈ દળે પોતાની માનવસંસાધન નીતિ, કારકિર્દીના માર્ગો અને પ્રગતિની તકો વિશે ફેરવિચાર કર્યો. મૂળ પ્રશ્ન પાયલટોને રોકવાનો નહીં; તેમને નોકરીમાં રહેવાનું મન થાય એવી વ્યવસ્થા ઊભી કરવાનો હતો.
‘ઇસરો’ સંદર્ભે પણ આ મુદ્દો સમજવો જરૂરી છે. અનુભવી વિજ્ઞાનીઓ નોકરી છોડીને અન્યત્ર જઈ રહ્યા હોય તો જરૂર છે તેની પાછળનું કારણ સમજવાની. સરકારની ખરેખરી ફિકર રાજીનામાંની સંખ્યા નહીં, પરંતુ તેની પાછળ રહેલા કારણની અને તેના થકી મળતા સંદેશની હોવી જોઈએ. લોકોના છોડીને જવાથી કોઈ સંસ્થા નબળી પડતી નથી, પણ લોકોના છોડી જવાના કારણોને સમજવાનો પ્રયત્ન ન થાય ત્યારે તે અવશ્ય નબળી પડે છે.
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
મુશ્કેલી એ છે કે આપણા વહીવટી તંત્રમાં મોટે ભાગે સમસ્યાના સ્વીકારમાં જ વિલંબ થતો હોય છે. શરૂઆતમાં તેને અપવાદ ગણવામાં આવે, પછી તેને વ્યક્તિગત નિર્ણય કહીને હળવાશથી લેવામાં આવે અને જ્યારે પ્રશ્ન ગંભીર સ્વરૂપ ધારણ કરે ત્યારે ઉતાવળમાં નિયમોને કડક કરવાની વાત આવી જાય. આવો પ્રતિક્રિયાત્મક અભિગમ કોઈ પણ ક્ષેત્રમાં લાંબે ગાળે સફળ થતો નથી.
એ જ રીતે ‘ઇસરો’ની સમસ્યાનો ઉકેલ વધુ કડક નિયંત્રણોમાં નહીં, બલ્કે વધુ આકર્ષક માળખું, વિશિષ્ટ કુશળતા ધરાવતા વિજ્ઞાનીઓ માટે ઝડપી પ્રગતિની તક, યોગ્ય પ્રોત્સાહન, સંશોધનની વધુ સ્વતંત્રતા અને ખાનગી ક્ષેત્ર સાથે સુનિયોજિત સહકાર—વગેરે જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારણા કરવાની જરૂર છે. સરકારે અવકાશના ક્ષેત્રમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપ્યું છે, તો તેને પરિણામે ઊભી થનારી પ્રતિભાની સ્પર્ધા માટે પણ તૈયાર થવું જરૂરી છે.
‘ઇસરો’ જેવી સંસ્થામાં કામ કરતો વિજ્ઞાની કેવળ એક પગારદાર કર્મચારી નથી. તેને તૈયાર કરવામાં વર્ષોનો સમય, જાહેર નાણાં અને વરિષ્ઠ વિજ્ઞાનીઓની મહેનતનું રોકાણ થયેલું હોય છે. તેથી તેમના રાજીનામાને માત્ર વ્યક્તિગત નિર્ણય કહીને નજરઅંદાજ કરી શકાય નહીં. સવાલ કેવળ ‘ઇસરો’નો નહીં, દેશની તમામ અગ્રણી જાહેર સંસ્થાઓનો છે. જ્ઞાન અને કુશળતાના વર્તમાન યુગમાં પ્રતિભા પર તાળું મારીને તેને જાળવી શકાતી નથી. તેને જતી રોકવી હોય તો સંસ્થાને એવી બનાવવી પડે કે જવાનું મન ન થાય.
આથી ‘ઇસરો’ના રાજીનામાંને સરકાર ફક્ત શિસ્તના પ્રશ્ન તરીકે જોશે તો થોડા સમય માટે આંકડા નિયંત્રિત થઈ જાય એમ બની શકે. પણ તેને માનવસંસાધન નીતિની ચેતવણી તરીકે લેશે, તો તે માત્ર ‘ઇસરો’ને નહીં, સમગ્ર ભારતીય વૈજ્ઞાનિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકશે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩-૮– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
એક પર્વત કે એક પર્વતમાળાને જોઈને કોણ જાણી શકે, કે કહી શકે, એમની પાછળ કેટલી અનંતતા હશે તે? કેવું છૂપું પાસું જોઈને નીકળી આવી હતી હું, ફરીથી રોજિંદા લોક-જીવનમાં.
આ મિનિ-બસનો રૂટ જુદો હશે, તેથી થોડી વાર પછી એ હાઇ-વે છોડીને અંદરના રસ્તે, નાનાં ગામોમાં થઈને જવા માંડી. ઘણા લોકો જુદી જુદી મિનિ-બસોને માટે ઊભેલા દેખાતા. મારાવાળી બસમાં કેટલાયે ચઢતા ને ઊતરતા. હું ડ્રાયવરની બાજુમાં બેસી ગયેલી, એટલે મને કોઈ નડ્યું નહીં. પનામાના અંદરના ભાગમાંની દિનચર્યા મને જોવા મળતી ગઈ.
શનિવાર હતો એટલે હાઇ-વે પર ટ્રાફીક ઓછો હતો. કૅનાલ પરના બ્રિજ પરથી પસાર થતાં મિનિ-બસને વાર ના લાગી. એ પછી તો થોડી જ મિનિટોમાં આલબ્રૂક બસ ટર્મિનલ આવી ગયું. ત્યાં પણ ઘણા લોકો દેશમાં અનેક જગ્યાએ જતી બસોની રાહ જોતાં ઊભા હતા.
આલબ્રૂક મૉલ નામનું શૉપિન્ગ સેન્ટર આની સાથે જોડાયેલું જ છે. પનામામાં જ નહીં, પણ આખા મધ્ય અમેરિકામાં એ મોટામાં મોટું ગણાય છે. હું છેક ત્યાં જ હતી, તેથી મૉલને જોઈ આવવાની ઇચ્છા હતી. પહેલી નજરે ખ્યાલ નથી આવતો, પણ આ મૉલમાં સાતસો જેટલા તો સ્ટોર છે. સસ્તી-મોંઘી કોઈ પણ ચીજ અહીં મળે, અને ડિઝાઇનર ચીજોની કિંમત પણ અહીં થોડી ઓછી હોય છે.
આમાં એકસોથી વધારે ખાવા-પીવાની જગ્યાઓ બનેલી છે. ઉપરાંત, અહીં સુપરમાર્કેટ, ફાર્મસી, સિનેમા, બૅન્કો, બ્યુટી સલૉન, કૅસિનો, છોકરાંઓને માટે રાઇડ, મિનિ-ટ્રેન વગેરે કેટલીયે સગવડો થયેલી છે. ત્રણસો રૂમની એક મોટી હોટેલ પણ અડીને જ બનેલી છે.
આવી જાણીતી જગ્યાએ એક આંટો મારવાના ઇરાદાથી હું ગયેલી. શનિવારની રજા હતી, એટલે લોકો આવતા જ જતા હતા. મારે કશું લેવું તો હતું નહીં. હૅલને એક આઇસ્ક્રીમ કંપનીનાં વખાણ કરેલાં. એ દુકાન જોઈ એટલે એક નાનો ચૉકૉલૅટ આઇસ્ક્રીમ ખરીદ્યો. ભીડમાં ફરવાનું જરાયે ગમતું નહતું, એટલે અડધો કલાક થતાંમાં તો હું ત્યાંથી ભાગી નીકળી.
મૅટ્રોનું સ્ટેશન પણ બાજુમાં જ, અને દસ મિનિટમાં તો હું હોટેલ પર પહોંચી ગઈ. બે દિવસ માટે સામાન નીચે મૂકાવડાવેલો. તેને રૂમમાં ખસેડ્યો, અને થોડી જ વારમાં હું પાછી બહાર નીકળી ગઈ. નજીકમાં પાણીના કિનારા પર બનેલા મોટા રસ્તા પરથી એક બસ લીધી. એમાં પણ ભીડ, ને સળંગ ઊભાં રહેવું પડ્યું. દૂરથી જોયેલાં તે બહુમાળી ઇમારતો હવે પાસેથી જોવા મળી.
મેં વાંચેલું કે શહેરના કન્વેન્શન સેન્ટરમાં ટ્રાવેલ ઍક્સ્પો ચાલતો હતો. એ જોવા ગઈ, ટિકિટ ખરીદીને અંદર ગઈ, ને પછી નિરાશ થઈ. લોકો તો હતા, પણ ઘણો નાનો હતો ઍક્સ્પો, ને ખાસ રસપ્રદ ના લાગ્યો. સ્થાનિક ઇન્ડિયન પ્રવાસીખાતાનો એક સ્ટૉલ હતો. હું ખુશ થઈને હૅલો કહેવા ગઈ, પણ એક સાધારણ ઇન્ડિયનની સાથે હસીને શા માટે બોલે એમાંનું કોઈ?
વળી પાછી મેં બસ લીધી, અને પાણી પરનો પેલો સુંદર બાગ આવતાં ઊતરી ગઈ. ત્યાં તો કશો પ્રસંગ હોય તેવું લાગ્યું. ચારસોથી યે વધારે વિદ્યાર્થિનીઓ ભેગી થયેલી. દરેક છોકરીએ આછા કે ઘેરા ગુલાબી રંગનાં કપડાં પહેરેલાં. કદાચ આખા દિવસ રમતગમત અને કસરતનો કાર્યક્રમ યોજાયો હતો. હવે પૂરો થવામાં હતો. બધાં ખૂબ આનંદમાં હતાં. જોર જોરથી મ્યુઝીક વાગતું હતું. જોકે એ આઠ વાગ્યે બંધ થઈ ગયું.
એ બધાં ધીરે ધીરે પોતપોતાનાં ઘર તરફ જવા માંડ્યાં. પણ સાંજના સમયે બાગમાં ફરવા આવેલાં ઘણાં હતાં. સુંદર સાંજ હતી. સૂર્યાસ્તનો આછો કેસરી પ્રસર્યો હતો. રસ્તા પર દીવાબત્તી થવા માંડ્યાં, ને ગગનચુંબી દીવાલોની બારીઓમાં પણ લાઇટો ચાલુ થવા લાગી. પાણી પર બાંધેલો ગોળ વળતો જતો કૉઝ-વે પણ ચમકવા લાગ્યો. તે પછી ચંદ્રની કમનીય કટારી પણ પ્રગટ થઈ, ને હું હોટેલ પર પાછી વળી.
ખૂબ વહેલી રાતના કલાકોમાં જોરથી વરસાદ પડેલો, પણ જાગીને જુઓ તો રસ્તા બીલકુલ સૂકા થઈ ગયા હતા. રવિવારના આજના દિવસે મારા મિત્ર-કુટુંબની સાથે મળવાનું નક્કી થયેલું. અગિયાર વાગતાંમાં તો અકબરભાઈ એમની દીકરી અનિસાની સાથે મને લેવા આવી ગયા. અમે કેટલાં વર્ષે મળ્યાં, પણ સ્નેહ અને મૈત્રીમાં કશી ખોટ નહતી પડી.
જે જૂના વિભાગમાં પહેલાં રહેતાં હતાં ત્યાં હવે એ બધાં નથી રહેતાં. શહેરની બીજી તરફ, શાંત અને સારા લત્તામાં એમણે ઘર લઈ લીધું છે. કમ્યુનિટીનાં બીજાં ઘણાં કુટુંબો પણ એમનું જોઈને એ તરફ રહેવા આવી ગયાં છે. મસ્જિદ અને મદરસા નજીકમાં છે. સ્કૂલ પૂરી કરીને બધા છોકરાઓ મદરસામાં જાય છે.
ફાતિમાબેનને આટલાં વર્ષે પણ યાદ હતું, કે હું શાકાહારી છું. એમણે શાકાહારી બિરયાની, છાશ, ઢોકળાં, પાતરાં, સમોસાં, શીરો, બદામ-પીસ્તાંની બરફી વગેરે બનાવેલું. આટલું બધું?, મેં કહ્યું. ખૂબ ખાધું. બધું સ્વાદિષ્ટ પણ ખરું. બપોરની ચ્હા સાથે સુરતી બિસ્કીટ આપ્યાં. એ પણ ઘેર બનાવેલાં. અરે વાહ.
બીજી દીકરી આઝીઝા પણ મળવા આવી. બંને વચ્ચે એમને ત્યાં પાંચ દીકરા છે. હું થોડી ભેટ અને અમેરિકન ચૉકૉલૅટ લઈ ગઈ હતી. એ તો ખાધી, ને સાથે દોડાદોડી અને ઘોંઘાટ પણ ઘણાં રહ્યાં. અકબરભાઈએ મને એક મોંઘું ફ્રેન્ચ પર્ફ્યુમ આપ્યું. મેં બહુ ના પાડી, પણ ના માન્યા.
ફાતિમાબેન કહે, હવે પનામા આવો ત્યારે અહીં જ આવજો. અનિસા કહે, હા, આપણે સાથે દરિયા-કિનારે રહેવા જઈશું. અરે, એ જ તો કરવું છે મારે, ફરી પનામા જાઉં ત્યારે.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
સચિન અને શીલા બંને ભાઇ બહેન ચોથા ધોરણમાં ભણતા હતા. ગરીબ મા-બાપ મજૂરી કરીને પણ છોકરાઓને ભણાવતા હતા. ક્યારેક પોતે અર્ધભૂખ્યા રહેવું પડે એવી હાલત ઘરની હતી. પરંતુ છોકરાઓને ભણાવીએ તો તેમનું ભવિષ્ય તો ઉજ્જવળ બને. એ આશાથી ગમે તેમ કરીને ફી ભરતા હતા.અભણ મા બાપ હૈયાના હેતથી પોતાથી શકય બની શકે તે બધું બાળકો માટે કરતા હતાં.
શિયાળાની સખત ઠંડી હતી. બંને બાળકો સવારે સ્કૂલે જતી વખતે થરથર ધ્રૂજતા રહેતા. પણ આજે તેની ગરીબ મા કયાંકથી કોઇએ આપેલ ફાટેલ તૂટેલ સ્વેટર લાવી હતી. મનમાં એક આશા સાથે કે હવે પોતાના બાળકોને ઠંડી નહીં લાગે.
સચિન અને શીલાને આવા ફાટેલ સ્વેટર પહેરવા ગમ્યા તો નહીં. પણ કોને કહે..? લાચારી હતી. અને પોતાની પરિસ્થિતિથી તેઓ અજાણ નહોતા. અને ઠંડી યે સખત લાગતી હતી. આનાથી થોડી તો રોકાશે..એમ માની બંને ભાઇ બહેન સ્વેટર પહેરી સ્કૂલમાં ગયા.
ત્યાં તેના જેવડા બીજા છોકરાઓ તેમના ફાટેલ સ્વેટર જોઇ મશ્કરી કરવા લાગ્યા. તેની ફાટેલી બાંયમાં હાથ નાખી હસવા લાગ્યા. ‘ એય શ્યામ, જો તો આ હવાબારી છે. શું સ્ટાઇલ છે ! હમણાં આ નવી ફેશન છે હોં ‘ ’ અરે યાર, આપણને તો આવી ફેશનની ખબર જ નથી હોં ! ‘
ને આમ જાતજાતની મશ્કરી કરતા બધા ખડખડાટ હસતા હતા. નાનકડા સચિન અને શીલા મૌન રહીને ત્યાંથી ખસી ગયા. તેમની આંખો છલકાઇ આવી હતી. પણ કરે શું ? અને પછી તો આ રોજનું થયું. બે દિવસમાં તેઓ આ મશ્કરીથી થાકી ગયા. આખરે હતા તો તેઓ પણ દસ વરસના છોકરા જ ને ? રોજ રડીને રહી જતા હતાં. ઘેર વાત કરવાનો કોઇ મતલબ નહોતો..અને સ્વેટર પહેર્યા વિના ઘેરથી કોઇ આવવા દેતું ન’તુ. શું કરવું તેની તેમને સમજ ન’તી પડતી. આવી મશ્કરી સહન કરવી એનાં કરતાં તો ઠંડી સહન કરવી વધુ સારી..એમ બંને ભાઇ બહેનને લાગતું હતું.
બીજે દિવસે બંને સ્કૂલમાં જતા હતા..ત્યાં રસ્તામાં વિચાર આવ્યો કે ઘેરથી ભલે પહેરવું પડે. પણ રસ્તામાં કયાંક મૂકી દેવું અને વળતી વખતે પાછું લઇ લેવું. જેથી ઘેર માને ખબર ન પડે અને તેને દુ:ખ ન થાય. નાનકડા છોકરાઓ પોતાને સૂઝે તેવો જ ઉપાય શોધે ને ? વિચાર કરતાં કરતાં બંને ઝડપથી એવી કોઇ સલામત જગ્યા શોધવા લાગ્યા. કેમકે સ્કૂલનો સમય થઇ ગયો હતો અને મોડું થતું હતું.
બંનેએ આજુબાજુ શોધખોળ આદરી. ત્યાં બાજુમાં વડલાના ઝાડ પાસે એક તૂટીફૂટી ઝૂંપડી જેવું કંઇક તેમને દેખાયું. વિચાર કરવાનો સમય તો કયાં હતો ? તેથી વધુ કોઇ પળોજણમાં પડયા સિવાય સ્વેટર ઉતારી, ત્યાં મૂકી ઝડપથી સ્કૂલે ભાગ્યા. ઠંડી ભલે લાગતી પણ હવે કોઇ મશ્કરી તો નહીં કરી શકે. ઠંડીથી ધ્રૂજતા બાળકો આખો વખત સ્કૂલમાં બેઠા રહ્યા. સ્કૂલ છૂટવાને હજુ એકાદ કલાકની વાર હતી.
ત્યાં સ્કૂલના પ્રિન્સીપાલનું કોઇ દિવસ નહીં અને આજે તેમને જ તેડુ આવ્યું. બંને ગભરાઇ ગયા. શું વાંક આવ્યો હશે તે સમજાયું નહીં !
બંને ડરતા ડરતા તેમની ઓફિસમાં ગયા. ત્યાં તો તેમના વર્ગશિક્ષક પણ હાજર હતા. મર્યા ! નક્કી તેમણે જ કંઇક ફરિયાદ કરી હોવી જોઇએ. બંને ડરી ગયા. ત્યાં પ્રિન્સીપાલે ઉભા થઇ તેમની સાથે હાથ મિલાવ્યા અને કહ્યું, ‘ શાબાશ ! બેટા ! અભિનંદન. આજે તમે માનવતાનું સાચું કામ કર્યું છે. મને તમારા જેવા બાળકોનું ગૌરવ છે.’
બંને આશ્ર્વર્યથી જોઇ રહ્યા. તેમને ખબર ન પડી કે પ્રિન્સીપાલ આ બધું શું બોલી રહ્યા છે ? ત્યાં તેમના શિક્ષકે આગળ આવી ને કહ્યું, ‘ હા, સચિન, શીલા, મેં જાતે જોયું છે કે તમે બંનેએ તમારા સ્વેટર ઉતારીને પેલી ઝૂંપડીમાં રહેતી સ્ત્રીના સાવ નાનકડા બાળકો જે સખત ઠંડીમાં ધ્રૂજતા હતા. તેમને ઓઢાડી દીધા છે. અને તમે પોતે સ્કૂલે આવી ઠંડીમાં એમ જ આવી ગયા છો. તમે જાતે સહન કરીને બીજાને મદદ કરી, માનવતાનું એક ઉદાહરણ રજૂ કર્યું છે. ‘ અને પ્રિન્સીપાલે કહ્યું કે, ‘ હા , બેટા, તમે તમારી પાસે જે કંઇ હતું. તે બધું તમે આપી દીધું છે. આજ સાચી માનવતા છે. આજે તમને બંને સ્કૂલ તરફથી ઇનામ આપવામાં આવે છે. અને કાલે પ્રાર્થના બાદ તમારું સન્માન..આખી સ્કૂલ સમક્ષ કરવામાં આવશે જેથી બીજા બાળકો પણ પ્રેરણા લઇ શકે….! ‘
આ પહેલાં આપણે શ્રી જગદીશ પટેલનાં જીવન ઝરણાંના ઉદ્ગમ અને વિદ્યાથી કાળનાં વહેણ વિશે જાણ્યું.
હવે આગળ…….
પહેલા વિશ્વયુદ્ધ પછી અમારા બાપુજી મુંબઈથી નડિયાદ આવ્યા અને ધંધો ચાલુ કર્યો. ત્યાં પાંચ દિકરી પછી, ૧૯૪૫માં મારો જન્મ થયો. ઘણી રાહ જોયા બાદ, પાંચ પાંચ દિકરીઓ પાછળ, જે દિકરાનો જન્મ થાય તે રાજકુંવર જેવો લાડકો હોય. કુટુંબના બધાં સભ્યો મને ખૂબ સાચવતાં. પહેલાં પાંચ વર્ષ સુધી જૂની અંધશ્રદ્ધાને લઈને મારા માતાએ મને ભિખારી બનાવ્યો હતો. તેથી કોઈના આપેલાં કપડાં જ પહેરવાનાં. ખરેખર તો મારાં કપડાં ભીખ માંગીને નહીં પરંતુ સગાવહાલાંની ભેટથી મળતાં. મારું નામ પણ પહેલાં ગોપાલ, તે છઠા વર્ષે જગદીશ બન્યું. પાંચ વર્ષ કામચલાઉ નામ આપવાનું કારણ એમજ કે તે જમાનામાં ઘણાં બાળકો વહેલાં ગુજરી જતાં. તેથી કાયમી નામ મોડું મળ્યું. આજે ૭૬ની ઉમરે કુટુંબીજનો મને ગોપાલથી જ બોલાવે છે.
નડિયાદમાં બાપુજીની સ્પોર્ટના સામાનની દુકાન હતી. તે સમયે નિશાળો, કૉલેજો, વ્યાયામશાળા કે પોળમાં રમાતી રમતોનો સામાન અમારે ત્યાં વેચાતો. હું આઠ-દસ વર્ષનો હતો ત્યારે નબળો અને બિકણ હતો તેથી ક્રિકેટ સારું રમી શકતો ન હતો. પોળના બાળકોની એક ટીમ હતી, તેને અમે પાટી કહેતા. બોલ-બેટ દુકાનમાં થી મને મફતમાં મળતાં તેથી હું ટીમને ભેટ આપતો. તે કારણે ટીમમાં મને કાયમ, યોગ્યતા ન હોવા છતાં, સ્થાન મળતું.
નડિયાદમાં નાત કે વ્યયસાવ પ્રમાણે બધી પોળો હતી. જેમકે કંસારવાડ, મોદીસાંથ, શેઠપોળ, વગેરે. અમે મૂળ ધર્મજના અને અમારી અટક પટેલ, પણ દેસાઈવગોમાં બધા દેસાઈઓ વચ્ચે વસવાટ કરેલો. સામાન્ય રીતે નડિયાદના યુવાનો બહુ તોફાની હોય છે તેવી માન્યતા ત્યારે પ્રચલિત હતી. જેથી મારા બાને ચિંતા થતી કે હું ખરાબ સોબતમાં આવીને બગડી જઈશ. સાચી વાત તો એ હતી કે હું ડરપોક હતો તેથી બાનો અજંપો અસ્થાને હતો. આજે છ દસકા પછી પણ મને નઠારા સપના આવે છે. જેમ કે હું પતંગ ચઢાવવા છાપરા પર ચઢ્યો છું અને નીચે ઉતરાતું નથી, અથવા કૂતરો મારી પાછળ દોડે છે અને હું પડી જાઉં છું, અને મારું માથું પથ્થર પર અથડાય છે. મહા મહિનામાં નડિયાદના પ્રખ્યાત સંતરામ મંદિરમાં મોટો મેળો થાય તેમાં અમે ચાનો સ્ટોર કરતા અને ટીમ માટે પૈસા બનાવતા. કોઈ વાર સારી ફિલ્મ આવી હોય તો વહેલા વહેલા લાઇનમાં ઊભા રહી ટિકિટો લઈ કાળાબજારમાં વેચતા પણ હતા. ધૂળેટીના દિવસે રસ્તા પર આવતા-જતા લોકોને રંગનો ડર આપી પૈસા ભેગા કરવાનું દર વર્ષે થતું. પછી તે દિવસે ખેતરમાં જઈ માટલાનું ઉંધિયું અને ફરસાણ ખાવાની મજા ઘણી વાર યાદ આવે છે, તેની તીવ્ર ઇચ્છા આજે પણ થાય છે. પોળમાં અમે આધુનિક અને સુધરેલા કુટુંબના હોવાથી અમારું માન હતું. તે સમયના મોટા ભાગના લોકોની જેમ અમે સુખી અને સંતોષી જીવન જીવતા.
પ્રાથમિક અને માધ્યમિક શાળાના અભ્યાસ પછી હું વડોદરા એમ. એસ. યુનિવર્સિટીમાં એન્જિનિયર થવા ગયો. ત્યાં ચાર વર્ષે સહેલાઈથી, સરળ ઝરણાના વહેણની માફક, પસાર થયાં. મારા વિદ્યાર્થી જીવનનો અંત આવ્યો.
પુખ્ત ઉંમરનું પહેલું પાનું પણ લખાયું ન હતું ત્યારે મને જીવનની વાસ્તવિકતાનો અનુભવ થયો. મારી કસોટી થઈ.
કૉલેજના પરિણામ અને સફળતા પછી હું અમદાવાદ મામાને ઘરે હતો ત્યારે સમાચાર આવ્યા કે મારા પિતા હૃદયરોગના હુમલાથી અચાનક મૃત્યુ પામ્યા છે. તે સમયે કુટુંબ રતલામમાં રહેતું હતું. અમે તરત ગાડીમાં નિકળી, લાંબી મુસાફરી કરી સીધા સ્મશાન પર ગયા. ત્યાં મેં મોટા દિકરા તરીકે તેમનો અગ્નિદાહ કર્યો. સ્મશાનમાં મને વિચાર આવવા લાગ્યા. મારી બે કુંવારી બહેનો અને ભાઈ હવે મારા પર નિર્ભર થવાના હતા. મોટાભાઈ તરીકે, પ્રણાલિકા પ્રમાણે, તેમની જવાબદારી મારી ગણાય. બાપુજી ખાધે પીધે સુખી, પણ બધી મિલકત એક પછી એક વેચી, દિકરીઓના લગ્ન પ્રસંગે સમાજના રિવાજો નીભાવવા, તેમણે અખૂટ ખર્ચો કર્યો હતો. સમાજસુધારા માટે ઘણી પરંપરાનો બહિષ્કાર પણ કર્યો હતો. તેથી મરણના સમયે બાપુજી પાસે મકાન સિવાય બહુ એસેટ નહીં. મને થયું કે સમાજ હવે મારી સ્થિતિ માટે મને દયાપાત્ર ગણશે. મેં નક્કી કર્યું કે મારે જવાબદારી નિભાવવા જે કરવું પડે તે હું મક્કમ મને, ધ્યેય પર નજર રાખી, કોઈ કે કશાની ચિંતા વગર કરીશ. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે તેમ મારાં ધર્મ અને ફરજ બજાવીશ, મારા કર્મથી.
૧૯૬૭ માં વડોદરાના મોટાભાગના સ્નાતક એન્જિનિયરો અમેરિકા જવા આતુર હતા. મેં પણ મુંબઈ જઈ અંગ્રેજીની પરીક્ષા પાસ કરી કૉલેજમાં એડમિશન માટે અરજીઓ કરી. પરંતુ મારો પ્રથમ વર્ગ ન હોવાથી તકલીફ પડી. તે સિવાય ખર્ચાનો પણ સવાલ. નસીબજોગે મામાએ ટિકીટની, અને મારા ફોઈનો દિકરો દિલીપ જે બે વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો તેણે સ્પોન્સરશીપની વ્યવસ્થા કરી. તે સમય દરમ્યાન, એડમિશનની રાહ જોતાં, મેં અમદાવાદમાં એન્જિનિયરની નોકરી મેળવી.
તે પંદર મહિનાના ગાળામાં, અમેરિકા જવા આતુરતાથી વાટ જોઈ રહ્યો હતો ત્યારે, ચાલુ થઈ મારી પ્રેમકથા.
* * * * *
હું નવોનવો ગ્રેજ્યુએટ એન્જિનિયર હતો, નોકરી મળતી નહોતી, અને પ્રયાસ ચાલુ હતો. કોઈ પ્રવૃત્તિ ન હોવાને કારણે મોટા ભાગનો સમય અમદાવાદ મામાના ઘરના વરંડામાં બેસી કોઈ ચોપડી વાંચવામાં કે રેડિયો સાંભળવામાં પસાર કરતો. અચાનક એક દિવસ સામે બંગલામાં નાનું કુટુંબ રહેવા આવ્યું. અમારી સાથે સામાન્ય પરિચય થયા પછી જાણવા મળ્યું કે તેમની મોટી દિકરી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તેમના નવા મકાનમાં ફોન નહીં હોવાથી અમારા ટેલિફોનનો ઉપયોગ કરવા માટે તેઓ બધાં વારંવાર અમારે ત્યાં આવતાં. તે સમયે મારી પણ એક દુનિયા હતી; સાચી દુનિયાથી અલિપ્ત, જ્યાં દુનિયાદારીનું કોઈ જ્ઞાન નથી, સ્વાર્થ નથી, વ્યવહારનું ભાન નથી. છેલ્લાં ચાર વર્ષ આંકડા અને નકશાઓમાં કાઢયા હતાં. યુવાનીના તે દિવસોમાં કદી કોઈ યુવતી સાથે પરિચય કરવાનો કે, તે માટે પ્રયત્ન કરવાનો પણ, મોકો મળ્યો ન હતો. વિજાતીય આકર્ષણ તો ગુરુત્વાકર્ષણ અને ચુંબકત્વ જેવા કેટલાય ભૌતિક નિયમોમાં ખોવાઈ ગયું હતું. તેવા સમયે મીનાને (પ્રાયવસી ને કારણે મીના નામ સાચું નથી) જોઈ અચાનક મારા હૃદયમાં રહેલી શાંતિમાં થોડી હલચલ મચી ગઈ.
શાંત પાણીમાં તરંગ ઉદભવે, મોજાં આવે, અને તોફાન મચી જાય, પરંતુ અંતે તે સમયના વહેણ સાથે મળી જાય છે. મીનાની બાબતમાં પણ એવું જ બન્યું. અસંખ્ય વાર તેના વરંડામાં ફરતી જોઈ અથવા અમારા ઘરે ફોન કરવા આવતી નિહાળી મારી દિનચર્યા આનંદમાં બદલાઈ ગઈ.
મીના સાથે વાત કરવાની ઇચ્છા હૃદયના કોઈ ખૂણે થતી હતી પરંતુ તે પ્રબળ ન હતી. મીનાની શી ઇચ્છા છે તે જાણતો ન હોવાથી તે મારું અપમાન કરે તેવી બીક. નિષ્ફળતાનો અનુભવ ન હોવાથી સ્વમાન હણાય તેવો મોટો ડર. પ્રયોગશાળામાં તો કેટલાય પ્રયોગો વારંવાર પ્રયત્ન કર્યા પછી સફળ થયા હતા પરંતુ જીવનની શાળામાં અખતરા કરવા જેટલી મારામાં હિંમત આવી નહોતી. સચોટ ભૂમિકાની ખાતરી થયા સિવાય આગળ પગલું ભરવું તે સાહસની શક્તિ મારામાં ઓછી હતી.
એક દિવસ મીના શાળાએ જવા નીકળી ત્યારે હું પણ લગભગ તૈયાર થઈ ગયો હતો. જલ્દી જલ્દી સાઇકલ પર તેની પાછળ ગયો. સાથે થઈ જાઉં પહેલાં હ્રદયની ધડકન વધી ગઈ. થોડો પરસેવો થવા માંડ્યો, એક વાર તો પાછા જવાની મરજી પણ થઈ, પરંતુ આખરે વિજાતીય આકર્ષણનો વિજય થયો અને હું તેની પાસે પહોંચી ગયો.
મીના સાથેની એક મુલાકાત થોડાં દિવસો પછી નિત્યક્રમ થઈ ગઈ. રોજ અમે સાયકલ પર સાથે એકાદ માઇલ જતાં, કોઈ વાર રસ્તાની બાજુએ ઊભા રહી વાતો કરી આનંદ માણતાં. તેની ઉપસ્થિતિ મારા દિવસમાં થોડી જ મિનિટ હતી, પરંતુ મનમાં તે ચોવીસ કલાક છાયી રહેતી. અચાનક, જે સુખની કલ્પના પણ નહોતી કરી તે હું અનુભવવા લાગ્યો.
યુવાનનાં મન અને શરીરને વિજાતીય વ્યક્તિની ભૂખ હોય છે. જ્યારે જ્યારે તે ભૂખ થોડે ઘણે અંશે પણ સંતોષશાવા માંડે ત્યારે દિવસ કે રાત, ઘરમાં કે બહાર, સૂતેલાં કે બેઠાં હોઇએ ત્યારે દરેક પળ જુદી જ તૃપ્તિ, આનંદ અને ઉત્સાહ અર્પે છે. હું પણ મીનાની સાથેના સંબંધને કારણે બદલાતો ગયો. કુદરતથી દૂર રહેતા એન્જિનિયરને ચાંદ અને તારામાં રસ પડવા લાગ્યો. મનમાં કાયમ મીનાના નામનું રટણ થવા લાગ્યું. ઑફિસેથી ઘરે પાછા ફરતાં રસ્તામાં સાયકલની સામે કોઈ નાનું છોકરું કે ઘરડાં ડોસા આવી જાય તો ગુસ્સે થવાને બદલે હવે તો બ્રેક મારીને હું હસી પડતો. રસ્તા પર લાલ લાઇટ આવે ત્યારે કંટાળો ન આવતો. મીનાના વિચારોમાં લીલી લાઇટ ક્યારે થઈ જતી હતી તે ખ્યાલ બહાર રહેતું. નહેરુબ્રિજ પરથી પસાર થતાં નદી પરથી આવતો ઠંડો પવન હવે શરીરને ગલગલિયાં કરતો અને નવરંગપુરાના એકાંત રસ્તા પર પણ ઘંટડી વગાડી કોઈ ગીત લલકારવાનું મન થઈ જતું.
ધીમે ધીમે અમારી હિંમત વધી, અને અમે બન્ને કુટુંબોની સમક્ષ વાતો કરતાં થયાં. એક વાર સાથે ફિલ્મ જોઈ, ગુજરાત કલબમાં ગરબા પણ માણ્યા. ક્રમશ: અમે માનસિક રીતે ખૂબ નજદિક આવી ગયાં.
મનુષ્ય ફક્ત પ્રેમથી જીવી શકે તેમ હોય તો દુનિયા જુદી જ હોય. આ જગત તો જરૂરિયાતોથી ભરેલું છે. પ્રેમ તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ તે સિવાય અભ્યાસ, નોકરી-ધંધા, સામાજિક સંબંધોની અગત્ય ઓછી નથી. મારે જીવનમાં પ્રગતિ કરી આગળ વધવું હતું તેથી નોકરી સાથે સાથે બહારનાં કોઈ કામ મળે તો તે કરતો. થોડા સમયમાં વધુ અનુભવ મેળવી સ્વતંત્ર થવાની મારી ઇચ્છા હતી. આગળ અભ્યાસ માટે અમેરિકા જવા માટે મારો પ્રયત્ન ચાલુ જ હતો. હું મેટ્રિકમાં આવ્યો ત્યારથી પરદેશ જવાની મારી ઇચ્છા હતી. અભ્યાસમાં હું સામાન્ય વિદ્યાર્થી કરતાં હોશિયાર હતો, પરંતુ અસામાન્ય બુદ્ધિશાળી ન હતો. પરદેશ જવાની તક મળે તો જતી કરવી ન હતી. હું અમેરિકા જવા આતુર હતો.
સદભાગ્યે ટૂંક સમયમાં મિત્રોની મદદથી મને તેઓ ભણતા હતા તે યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું. મારા આનંદનો પાર ન રહ્યો. વર્ષોથી સાચવીને ઉછેરી મોટા કરેલ મારા ઇચ્છારૂપી વૃક્ષ પર ફળ આવવાનાં ચાલુ થયાં હતાં. આંબા પર બેઠેલો મોર જોઈને તેના ખેડુતને આનંદ થાય તેવી ભાવના મને અમેરિકાથી આવેલા એડમિશન-લેટર જોઈને થઈ.
મને મીના અને કુટુંબીજનો થી દૂર થવાનો નો ઘણો અફસોસ હતો, પરંતુ અમેરિકા જવું જરૂરી હતું. તેથી જાન્યુઆરીમાં પહેલું ક્વાર્ટર ચાલુ થાય તે પહેલાં ઓહાયોની યંગસ્ટાઉન સ્ટેટ યુનિવર્સિટી જવાની જલદી તૈયારી કરી.
જુદાઈથી ચિંતિત, પણ ઉત્સાહથી છલકતા હૃદયે ૧૯૬૮ ના છેલ્લા દિવસે ન્યૂયોર્કમાં મેં ‘વેલકમ ટુ ધ યુનાઇટેડ સ્ટેટસ ઑફ અમેરિકા’ ની મોટી સાઇનના દર્શન કર્યા, તેમ કહેવું અજુગતું નથી લાગતું.
એરપોર્ટ પર ઉતર્યો તે જ સમયથી નવા અનુભવની શરૂઆત થઈ ગઈ. મારો મિત્ર લેવા આવ્યો ન હતો. એક મણની બેગ હાથમાં લઈને ટેલિફોનની બાજુ હું ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ મારી બેગનું હેન્ડલ, વધુ વજનને કારણે, તૂટી ગયું. હેન્ડલ મારા હાથમાં રહ્યું અને બેગ નીચે પડી ગઈ. આમેય કોઈ ન આવવાથી ગભરાટ તો હતો જ અને બેગ તૂટી જતાં જરા વધુ બેચેની લાગી. હેન્ડલ કોટના ખિસ્સામાં મૂકી દીધું, ચાલીસ શેર વજનની બેગ બગલમાં લીધી અને બીજી એરબેગ ખભા પર નાખી હું ટેલિફોન કરવા ગયો. બુથ પાસે જઈ સામાન મૂકી ડાયરી ખોલી ફોન નંબર ખોળ્યો. મારી પાસે થોડું પરચૂરણ હતું તેમાંથી એક સિક્કો નાખી ફોન જોડ્યો. ટેલિફોન શહેરથી દૂર કરવાનો હોવાથી ઑપરેટરે બીજા પૈસા નાખવા કહ્યું. નવા નવા સિક્કા ઓળખાતા ન હતા તેથી ખબર ન પડી કે કોની કેટલી કિંમત છે. પૈસા નક્કી કરીને નાખું તે પહેલાં લાઇન કપાઈ ગઈ. ફરી વાર ફોન કરવાની મારી હિંમત ન ચાલી તેથી એક અમેરિકન (તે સમયે બધા ધોળા માણસો અમેરિકન લાગતા) ભાઈને પૈસા આપી, નંબર બતાવી ફોન જોડી આપવા વિનંતી કરી. નસીબજોગે મારો મિત્ર ઘરે જ હતો અને તરત નીકળી એરપોર્ટ પર અમુક જગ્યાએ મને મળશે તેમ કહ્યું તેથી એક ખૂણાની ખુરસી પર બેસી હું તેની રાહ જોવા લાગ્યો. તેને હોબોકોનથી આવવામાં મોડું થયું એટલે મને ગભરામણ થવા માંડી. મારી પાસે બીજા કોઈ મિત્રનું સરનામું ન હતું અને ખિસ્સામાં આઠ જ ડોલર હતા. ખેર, તે સમય મેં નવા નવા લોકોના નિરીક્ષણ કરવામાં કાઢ્યો. સુખી દેખાતા સ્વસ્થ અમેરિકન પુરુષો, લાંબી સપ્રમાણ અને દેખાવડી અમેરિકન યુવતીઓ જોઈ મને આનંદ થયો, સાથેસાથે ઘરડી વૃદ્ધાઓના મેક-અપના લપેડા જોઈ આશ્ચર્ય થયું.
યંગસ્ટાઉન પહોંચી મારા મિત્રો સાથે જ મોટા ઘરમાં રહેવાનું મળ્યું. થોડા સમયમાં જ હું, સહેલાઈથી, અભ્યાસમાં તન-મનથી પરોવાઈ ગયો. શિયાળો ચાલુ થઈ હતો તેથી ઠંડીનું પ્રમાણ સારું એવું હતું. ઘર અને કૉલેજ વગેરે બધાં જ સ્થાન હીટરથી ગરમ રહેતાં હોવાથી બહાર રસ્તા પર જઈએ ત્યારે જ ઠંડી લાગે. જ્યારે થોડા દિવસ પછી પહેલી જ વાર બરફ પડતો જોયો તે સમયે મને ઘણી જ મઝા આવી. સફેદ રૂના નાના ટુકડા જેવો સ્નો આકાશમાંથી પડે ત્યારે બધું જ વાતાવરણ સુંદર લાગે. થોડી વારમાં રસ્તા અને છાપરાં પર સ્નો ભેગો થઈ જાય પછી જો સૂર્ય નીકળે તો ગમે તેવી ઠંડીમાં પણ ઘર બહાર દોડી જવાની ઇચ્છા મને થઈ જતી. મારી રૂમની બારીમાંથી, સવારે ઊઠીને કોઈ કોઈવાર હું રાત્રે પડેલા બરફની તરફ જોઈ જ રહેતો. કોઈ ચાલ્યું ન હોય તેવા રસ્તા પર બરફના થર જોઈને મને કોઈ સુંદર અમેરિકન છોકરીના સફેદ મુલાયમ શરીરની કલ્પના આવતી. જાડાં જાડાં જાકીટ અને માથે ટોપી પહેરી સ્કૂલ જતાં નાનાં બાળકો જોઈ મને બાળપણ યાદ આવતું. દૂર રસ્તા પર નજર ન પહોંચે અને હું વિચારોના વમળમાં ફસાઈ જાઉં ત્યારે મને વરંડામાં ફરતી, વાંચવાના બહાને બેઠેલી અને માથે હાથ ફેરવતી મીના દેખાતી હતી. અચાનક પાછો ભાનમાં આવી જતાં હું એકલો એકલો હસી લેતો.
યંગસ્ટાઉનમાં અનુસ્નાતક અભ્યાસ સહેલો હતો. તે સમયે પણ લગભગ સો ભારતીય વિદ્યાર્થી ત્યાં ભણતા. તેમાંથી ૯૦ જેટલા કદાચ ગુજરાતી હશે. ભાગ્યે જ કોઈ નોકરી કરતું હતું. ખરેખર તો ટ્યુશન ફી અને રહેણીકરણીનો ખર્ચો ખૂબ ઓછો હતો. ચાર હાઉસમેટ્સ વચ્ચે અમે બસો ડોલરમાં એક કાર પણ ખરીદી. થોડા સમય બાદ અમને ખબર પડી કે અમારી કોરવેર અમેરિકાની સૌથી જોખમભરેલી ગાડી ગણાતી. પરંતુ ગાડી હોવાની ખુશીમાં અને યુવાનીની બેદરકારીને લઈ અમને કશી ચિંતા ન થઈ. અમે જાતે જ ખાવાનું બનાવતા હતા અને તે સમયે ઇન્ડિયન ગ્રોસરી મળવાનો તો સવાલ જ ન હતો. એ એન્ડ પી નામના સુપરમાર્કેટમાં જે મળે તેથી ચલાવી લેતા. ધીમે ધીમે અમે માંસ ખાવાનું, બીયર અને વ્હિસ્કી પીવાનું પણ શીખ્યા. જોત જોતામાં ઉનાળાની રજા આવી ગઈ. તે પૈસા કમાવા અને બચાવવાનો મોકો હતો તેથી હું શિકાગો સમર જોબ કરવા ગયો.
શિકાગોમાં વ્હાઇટકોલર નોકરી મળે તે શક્ય ન હોવાથી નાના કારખાનામાં કામ ચાલુ કર્યું. નોકરીની શરૂઆત તો સરળ લાગી પરંતુ મુશ્કેલીનો અંદાજ અનુભવ વગર ન આવે. બે-ત્રણ દિવસ તો ઉત્સાહમાં પસાર થઈ ગયા પરંતુ પછી તકલીફ પડવા લાગી. કાયમ મજૂરીના કામમાં મગજ બિનઉપયોગી થઈ ગયું. કામમાં બુદ્ધિનો ઉપયોગ ન કરવાનો હોય તો આખી દુનિયાના વિચાર જ આવ્યા કરે તેથી મગજ થાકી જતું હોય તેમ લાગતું. ઘણી વાર ઝોકાં આવતાં હોય તો મેં ગાયન ગાવાનું ચાલુ કર્યું. કામ કરતાં કરતાં ગાયન ગાવાથી મન આનંદિત થતું અને સાચી દુનિયા ભૂલી જતું. થોડા સમયમાં વિચાર પણ ખૂટવા લાગ્યા, મારા જેવાને તો વળી કોઈના અને કેટલા વિચાર કરવાના હોય. હા, મીનાને યાદ કરી થોડો સમય પસાર કરી શકાય પરંતુ તેની સાથેના સંબંધમાં ભવિષ્યના વિચાર ન કરવાના મારા નિયમને કારણે તે ક્ષેત્ર મર્યાદિત હતું. થાકેલા મગજ સાથે ઘેર જઈને ખાવાનું બનાવવાનું કેટલું અઘરું છે તે તો જેને અનુભવ થયો હોય તે જ સમજી શકે છે. અઠવાડિયામાં તો ખાતરી થઈ ગઈ કે જે કામ હાથમાં લીધું છે તે સહેલું નથી.
હું મજૂરીનું કામ કરતો હતો છતાં મેં પણ બીજા ભારતીયોની માફક ઘેર જણાવ્યું ન હતું. મેં પત્ર લખ્યો હતો કે હું શિકાગોમાં એક એન્જિનિયરિંગ કંપનીમાં જોડાઈ ગયો છું. મજૂરીનું કામ કરવામાં મને શરમ ન હતી, પરંતુ તે વાત જાણી બધાં ખોટી ચિંતા કરે તે કારણે સાચી હકીકત જણાવવી યોગ્ય ન માન્યું.
નોકરીમાં થોડા દિવસ થયા હતા અને એક દિવસ સાંજે મારા ફોરમેને બોલાવી પૂછ્યું, “કાલે સવારે તારાથી એક કલાક વહેલું અવાશે?” મને તરત વિચાર આવ્યો કે ઑવરટાઇમ આપવાની વાત છે, મેં કહ્યું, “હા, આવી શકીશ.” તેણે મને એક બાઈ સાથે ભેટો કરાવી આપ્યો અને કહ્યું કે તે તને કાલે સવારે મળશે. બીજે દિવસે સવારે વહેલો ઊઠી ઉત્સાહથી હું નોકરી પર ગયો. પેલી બાઈ મળી, અને તેણે કહ્યું, “હું અહીંયા સવારે વહેલી આવી કામ કરું છું. બે દિવસ પછી બે અઠવાડિયાં માટે વેકેશન પર જવાની છું માટે મારું કામ તું સંભાળજે.” તે મને કામ બતાવવા લાગી. સવારે ઑફિસ ખૂલે તે પહેલાં બધી રૂમો વેક્યુમ કલીનરથી સાફ કરવાનું, કચરાની ટોપલીઓ ખાલી કરવાની તથા એશ ટ્રે ખાલી કરવાની વગેરે કામ હું તેની સાથે કરવા લાગ્યો. પછી તે મને બાથરૂમમાં લઈ ગઈ, અને કહ્યું કે રોજ અહીંયાના ટૉયલેટ પેપર્સ ભરવાના અને સંડાસ સાફ કરવાનું. મને તો બાથરૂમ અને સંડાસનું કામ જોઈને જ ના ગમ્યુ. અમેરિકામાં સંડાસ સાફ કરવામાં કશી ગંદકી હોતી નથી પરંતુ મારું માનસ તે કામ સહી શકે તેમ ન હતું. એક સામાન્ય યુવાનની માફક મન સમાજ અને તેના વાતાવરણથી દૂષિત થયેલું હતું. પૂર્વજો આ પ્રકારનું કામ કરનાર વ્યક્તિને સ્પર્શ પણ નહોતા કરતા તો હું તેવી નોકરી કેમ કરું? પહેલેથી જ મજૂરીની નોકરી કરવામાં કંટાળો આવતો અને આવું કામ આવતાં તો મને મારા નસીબ પર ખૂબ જ ગુસ્સો આવ્યો. બપોરે ખાવાના સમય સુધીમાં મેં નક્કી કર્યું કે ભલે બીજી નોકરી ખોળતાં બેત્રણ દિવસ બગડે પણ આ નોકરી છોડી દેવી છે. કોઈને કહ્યા વગર હું લંચ સમયે એપાર્ટમેંટ પર જઈ સૂઈ ગયો.
શિકાગોમાં બે મહિના કામ કરી એક હજાર ડૉલર બચાવી ખુશખુશાલ હ્રદયે હું યંગસ્ટાઉન આવ્યો. પાછા આવી બે ક્વાર્ટસના અંતે માર્ચ ૧૯૭૦ માં માસ્ટર્સ ડિગ્રી મેળવી ગ્રેજ્યુએટ થયો.
તે સમયે અમેરિકાની આર્થિક સ્થિતિ બગડવાની ચાલુ થઈ હતી. કૉલેજમાંથી બહાર આવેલા યુવાન-યુવતીઓને નોકરી મળતી ન હતી. તેથી મારા એક મિત્ર અને મેં નક્કી કર્યું કે ન્યુયોર્કમાં એન્જિનિયરીંગ કંપની મોટી સંખ્યામાં છે તેથી તકો વધારે છે, તો ત્યાં જવું.
જગતની રાજધાની ન્યુયોર્ક, ગગનચુંબી મકાનો, પહોળા રસ્તા, વિશાળ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ, ઐતિહાસિક બ્રૉડવે થિયેટર્સ, વૈભવશાળી હોટલો અને યુનાઇટેડ નેશન્સ, તે બધું જ તથા દેશ-વિદેશના મૂર્ખ અને હોંશિયાર, ગરીબ અને ધનિક, ફેશનેબલ અને ચીંથરેહાલ, પ્રમાણિક અને લુચ્ચા, કાળા અને ગોરા, નૈતિક મૂલ્યોને સાચવી રાખનાર ધર્મિષ્ઠ અને રોજ રાત્રે જુદી જુદી વ્યક્તિઓને શરીર સોંપનારી સામાન્ય યુવતીઓ તથા વેશ્યાઓ, ન્યુયોર્કને અમેરિકાનું “ફન સિટી” બનાવે છે.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વખતે યાદ રાખેલાં સ્થળો, જેમ કે સ્વતંત્રતાની દેવીનું પૂતળું, એમ્પાયર સ્ટેટ બિલિડંગ વગેરે જોવા વર્ષોથી ઇચ્છા મનમાં સંઘરી રાખી હતી. મને કદી મોટા શહેરમાં રહેવા ઇચ્છા થઈ નહોતી, પરંતુ થોડા સમય માટે તે વાતાવરણનો આનંદ માણી શકાય તેમ હું માનતો હતો. મનમાં આશા હતી કે ત્યાં નોકરી મળશે, અને તેનો સ્વીકાર કર્યા સિવાય છૂટકો ન હતો. બસમાં સૂતાં, જાગતાં, બગાસાં ખાઈને, બાજુવાળો કાયમ સિગારેટ પીવે તો કંટાળીને, જાગીને તરત ખૂણામાં બેઠેલી સુંદર યુવતી તરફ જોઈને, બાર કલાક પસાર કર્યા પછી ન્યુયોર્ક આવવાનું હોય તેવાં ચિહ્નો દેખાયાં. વસંત ઋતુની શરૂઆત હતી, ઠંડી ઓછી થઈ ગઈ હતી અને ચોખ્ખા આકાશ નીચે, આછા પ્રકાશમાં, દૂર દૂર ઊંચા મકાનો દેખાતાં હતાં. મેનહટનમાં પ્રવેશ કરવા ટનલમાંથી પસાર થઈ અમારી બસ પોર્ટઓથોરીટીના મકાનમાં ગોળ ગોળ ફરી ચોથા માળે ઊભી રહી ત્યારે જ મને ન્યુયોર્કનો આભાસ થઈ ગયો હતો.
ન્યુયોર્ક આવ્યા પછી મને એક જ સપ્તાહમાં ‘સિટી ઑફ ન્યુયોર્ક (મ્યુનિસિપાલટી)માં નોકરી મળી ગઈ. સરકારી જોબ કરવાનું બહું ગમ્યું નહીં પણ બીજો કોઈ વિકલ્પ નથી માનીને મન મનાવ્યું. તે સમયે ગ્રીનકાર્ડ છે કે નહીં તેવા સવાલ પૂછાતા ન હતા. વિએટનામ જવું પડે તે ડર ને લઈ અમે કોઈએ ગ્રીનકાર્ડ માટે અરજી નહીં કરેલી. અમેરિકામાં કેટલો સમય રહેવું છે તેવો વિચાર પણ નહોતો આવ્યો. જિંદગી એક એક દિવસથી આગળ વધતી હતી.
મારું કામ શહેરની લગભગ એક હજાર સ્કૂલના મકાનોમાં એન્જિનિયરની જરૂર પડે તે ડિવિઝનમાં હતું. કામ સહેલું, ઑફિસના બીજા કર્મચારીઓ, સાહેબો વગેરે પ્રોફેશનલ, પગાર સારો, તે બધા કારણોને લઈ મને નોકરી ગમતી હતી. રોજ કામમાં કાયમ વ્યસ્ત ન રહેવાથી નિરસતા પણ લાગે.
સવારે હું ઑફિસ પહોંચું ત્યારે વ્યક્તિઓનાં ત્રણ-ચાર જૂથ પડી ગયાં હોય અને કોઈ ચાલુ વિષય પર વાત ચાલે. ચંદ્રની યાત્રા, ભાવવધારો, ફૂટબૉલની મેચ, પ્રેસિડેન્ટની ચૂંટણી વગેરે વિષયો ચર્ચાતા હોય. હું પેપર વાંચતો જાઉં અને રસ પડે તો ચર્ચામાં ભાગ લેતો. કામના સમયમાં પણ વચ્ચે વચ્ચે અમે વાતો કરતા રહેતા. મોટી ઉમરનો યહૂદી રોબર્ટ, તેની પત્ની, પુત્ર, પુત્રીની વાતો કરતાં થાકતો નહીં તે કારણે ધીરે ધીરે મને તેનો લગભગ આખો ભૂતકાળ ખબર પડી ગયો. ઓગણીસો ત્રીસની મંદીમાં લોકોની હાડમારી, બીજા વિશ્વયુદ્ધ વખતે યુરોપમાં યહુદીઓની યાતના, રોબર્ટની પુત્રી ટ્રક નીચે અકસ્માતમાં મરી ગઈ ત્યારની તેની પરિસ્થિતિ, ભરજુવાનીમાં પુત્રને માનસિક રોગ થતાં લાગેલો આઘાત, વગેરે બનાવો સાંભળીને મને કમકમાટી આવી જતી. સુખી દેખાતા દુનિયાના લોકો અંદરખાનેથી કેવાં દુ:ખ સહન કરી રહ્યા છે તેનો ખ્યાલ, બધા પ્રૌઢ ઉંમરના કર્મચારીઓ સાથે વાતો કરવાથી આવી રહ્યો હતો. મન પર છાપ ઊભી થવા માંડી કે ભૌતિક પ્રગતિની સાથે સુખ-સગવડતામાં વધારો કર્યા છતાં આપણે મનની શાંતિ માટે કશું કરી શક્યા નથી તેનો દાખલો દરેક અમેરિકન કે યુરોપિયન પૂરો પાડી શકે છે. અત્યારે મારી માન્યતા છે કે પુર્વને ભૌતિક સફળતા માટે બુદ્ધિવાદ અને વ્યવહારિકતા ની જરૂર છે અને પશ્ચિમને મનની શાંતિ મેળવવા આધ્યાત્મિકતા ની. બન્ને સંસ્કૃતિના શીખવાલાયક ગુણોથી વ્યક્તિગત અને સામુહિક સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકાય.
હું વડોદરાથી જાણતો હતો તેવા અમે ત્રણ મિત્રો સાથે ક્વિન્સમાં રહેતા હતા. બીજા પચીસ ત્રીસ ગુજરાતી ન્યુયોર્ક અને ન્યુ જર્સી, ખાસ કરીને હોબોકોન, માં વસતા તેમનો પણ પરિચય થયો. વાત વાતમાં કોઈ સ્વપ્નશીલ ભાઈએ સૂચન કર્યું, આપણે ગુજરાતી સમાજ બનાવીએ તો કેમ? બધાને તે વિચાર ગમ્યો, ૧૯૭૧ માં બારેક યુવાનોની મિટિંગ અમારા એપાર્ટમેંટમાં ભરાઈ અને અમે અમેરિકાના સૌથી પહેલા ગુજરાતી સમાજ ની સ્થાપના કરી. આનંદની વાત છે કે આજે પચાસ વર્ષ પછી તે સમાજ સારી રીતે ચાલે છે.
ફકત પંદર મિનિટની સબવેની મુસાફરી, અને ક્વિન્સમાં જ અમારી ઓફિસ હતી. પૈસા તો બચતા જ હતા તેથી મેં બહારની જિંદગીમાં રસ લેવાનું અને તે અનુભવવાનું ચાલું કર્યું. સ્ટોક્ માર્કેટમાં ચાંચ ડૂબાડી, બેઝબોલની ગેમ જોવા પણ જતા થયા. મને નવું શીખવાની જિજ્ઞાસા ઘણી અને સાંજે અને વિકેન્ડમાં સમય ખૂબ રહેતો તેથી મેં વાયએમસીએમાં તરતા શીખવાના લેસન લીધા, એચ આર બ્લોકમાં ઇન્કમટેક્ષ વિશે શીખ્યો. પછી મને નવી નવી નીકળેલી કમ્પ્યુટર ડેટિંગ માટે કૂતુહલ થયું. હું મીનાને પ્રેમ કરતો હતો, ચોવીસે કલાક તેના વિચારો તો આવ્યા જ કરતા, પણ મેં વિચાર કર્યો કે બીજી કોઈ યુવતી સાથે જમવા જવા કે ફિલ્મ જોવાથી મારી મીના માટેની લાગણી ઓછી નથી થવાની. હું ફક્ત અનુભવની અભિલાષા રાખતો હતો, સેક્સ કે સંબંધની ઇચ્છા ન હતી.
મેં ડેટિંગ કંપનીમાં ફોન કરી અંગત વિગતોનું ફોર્મ ભર્યું. થોડા જ દિવસોમાં તેમણે પાંચ યુવતીઓના નામ અને ફોન નંબર મોકલી આપ્યા. તરત જ મેં એકને ફોન કર્યો અને બે દિવસ પછી, શનિવારે, બ્રોક્સમાં એક સામાન્ય રીતે સુંદર તરુણ યુવતીને મળ્યો. અમે ચાઇનીઝ ડિનર લીધું અને ફિલ્મ જોઈ. તે સાંજના ત્રણેક કલાક અસ્વસ્થતા હોવા છતાં આનંદથી પસાર કર્યા. મને સંતોષ થયો કે મેં કશું નવું કર્યું છે. અઠવાડિયા પછી તેનો ફોન આવ્યો ફરી મળવા માટે. મેં સભ્યતાપૂર્વક ના પાડી.
એકાદ મહિના પછી નવરો બેઠો હતો ત્યારે બીજા નંબર પર ફોન કર્યો. થોડી વાત કરી મળવાનું નક્કી કર્યું ત્યારે મને ખબર પડી કે તે છોકરી બ્રૂકલીનમાં રહેતી હતી. પહેલો વિચાર મને આવ્યો કે તે એરિયા કેવો હશે. ૧૯૭૧ ત્યાં ની ઘણી વસાહતો ભયજનક હતી. મને બીક લાગી પણ જેમ ડેટીંગનો સમય નજદીક આવ્યો તેમ ડર ઓછો થયો.
નક્કી કરેલા સમયે પહોંચવા સબવેમાં બેસી હું જુલીના ઘરે જવા નીકળ્યો. એક પછી એક સ્ટેશન અને નામ વાંચી ખાતરી કરી, અને સાચું સ્ટેશન આવ્યું ત્યારે જ ઉતર્યો. અંધારિયા પ્લેટફોર્મ, અને દીવાલો ગ્રેફિટીના છબરડા થી ભરેલી. હું બહાર નીકળ્યો. સ્ટ્રીટ નંબર વાંચી દિશા પકડી, ચાર-પાંચ બ્લોક નો રસ્તો લીધો. મનમાં થોડો ગભરાટ અને ઉશ્કેરાટ હતો તે કારણે આજુબાજુ નજર કરીને, ખરાબ માણસ પાસે નથી આવતો તેવી સાવચેતી રાખી ચાલ્યો. સામે નાના બગીચાના બાંકડા પર બે ત્રણ નિગ્રો બેઠા હતા, એક ડોશી નજદીક આવતી હતી, અને બાજુમાં કોઈ છોકરો દોડી રહ્યો હતો. પાંચેક મિનીટ પછી જુલીના ઘરની સ્ટ્રીટ આવી ગઈ. જમણી બાજુ વળ્યો અને મકાનમાં નંબર જોઈ અંદર ગયો.
અચાનક મને વિચાર આવ્યો. અહિયાં રહેતી છોકરી કાળી જ હશે. જો તેમ હોય તો હું કેવી રીતે તેની સાથે વર્તન કરીશ કે મને મજા આવશે. ગભરાટમાં થોડો પરસેવો થયો હોય તેમ લાગ્યું. રૂમાલ બહાર કાઢી મોં લૂછ્યું અને શર્ટ સરખું કર્યું. અનિશ્ચિતતાથી ગભરાઇને બીજો કશો વિચાર કર્યા વગર મકાન ની બહાર નીકળી ગયો, અને ત્યાંથી ભાગ્યો. સબવેના સ્ટેશન પાસે આવી મેં જુલી ને ફોન કર્યો અને જુઠ્ઠુ બોલ્યો; મારી તબિયત સારી નથી તેથી નહીં આવી શકું.
મને મારી કાયરતા માટે અફસોસ થયો. બાકીની સાંજ અને રાત પશ્ચાતાપ અને જાત પર ગુસ્સામાં પસાર કરી. દુનિયા બેસ્વાદ લાગી, જવાની ભારરૂપ લાગી.
એકાદ વર્ષની નોકરી પછી ભારતીય લોકોમાં વાત ચાલુ થઈ કે ડિગ્રી અને જોબ પરથી ગ્રીનકાર્ડ મળે છે તે બંધ થવાનું છે. ઘેટાના ટોળાની જેમ મેં અને બધા મિત્રોએ પણ તે માટે સમય વેડફયા વગર અરજી કરી. બે-એક વર્ષના રહેઠાણ પછી અમને અમેરિકા ગમી ગયું હતું. પરણેલા જવાનોને ભારતથી પત્નીને બોલાવવાની મરજી તો હતી જ. મને પણ ભારત જઈ મીનાને મળવાની ઇચ્છા હતી. તેની સાથે પત્રવ્યવહારને લઈ અમારી પરસ્પર ભાવના મક્કમ બની. મારી ટેવ મુજબ હું મીના સાથે ભવિષ્ય જીવનના ખ્યાલોમાં ખોવાયેલ ન રહેતો, સ્વપ્ન પણ ન આવતાં, પરંતુ અમારી લાગણી નવી ઊંચાઈએ જઈ ચૂકી હતી.
મીનાએ મને ઇચ્છા દર્શાવી હતી કે હું ભારત પાછો જાઉં અને અમે લગ્ન કરીએ. તેણે જણાવ્યું હતું કે જરૂર પડશે તો તે અમેરિકા આવી તેનો અભ્યાસ પૂરો કરશે. ક્રમશ: અમે નક્કી કર્યું કે મારે વહેલી તકે ઈન્ડિયા જવું, અને અમે તરત લગ્ન કરીશું. ૧૯૭૧ ના ઑગષ્ટ મહિનામાં મને ગ્રીનકાર્ડ મળ્યું અને મને ભારત જઈ મીનાને મળવાની તાલાવેલી થવા માંડી. તેની સાથેના પ્રેમને લગ્નના રૂપે અનુભવાય તેવી તીવ્ર આશા હકીકતમાં બદલાય તે ચિત્ર નજર સમક્ષ ઊભું થવાનું ચાલુ થયું.
એક દિવસ મને વિચાર આવ્યો કે આજ સુધી અમે અમારા પ્રેમને, છીપમાં મોતી રહે તેમ દુનિયાથી છુપાવી મનમાં જ રાખ્યો હતો, તેને જાહેર કરવાનો સમય આવ્યો છે. તરત જ મેં મામાને પત્ર લખી મારા મીના સાથેના સંબંધની વાત લખી. મારા માનવા મુજબ તેમને સમાચાર જાણી ઘણો આનંદ થશે તે માન્યતા સાચી ઠરી. મામા મારો પત્ર વાંચી ખુશ થઈ મીનાના મમ્મી પપ્પા ને મળ્યા અને અમારા સંબંધની વાત કરી. તેમણે કહ્યું કે ગોપાલ અમેરિકાથી થોડા દિવસોમાં આવશે, મીના સાથે લગ્ન કરવા.
મારા અને મીનાના બદનસીબે તેના માતા-પિતાને તે વાત ગમી નહીં. કદાચ તેમને થયું હશે કે મીના લગ્ન માટે બહુ નાની છે. શક્ય છે કે તેઓ વાણિયા અને અમે પટેલ તેનો પણ વાંધો હોય. છતાં અમે અમારા નિર્ણયમાં મક્કમ રહયાં અને યોજના પ્રમાણે હું ભારત જવા નીકળ્યો.
ચોવીસ કલાકની ફલાઈટ પછી મુંબઈ પહોંચ્યો અને ટેક્સી લઈ વિક્ટોરીયા ટર્મિનલ જાઈ ડ્રાઇવરને ભાડું ચૂકવવાની સાથે મોટી ટીપ આપી. તેણે મને લળી લળીને સલામ કરી. પરદેશની કમાણી પર હું ભારતમાં છૂટથી પૈસા વાપરી શકું તે કારણે પૈસાનો પ્રતાપ હવે દેખાવા લાગ્યો. પળેપળે બદલાતા વિશ્વમાં ભારત ત્રણ વર્ષમાં કેટલું બદલાયું છે તે જોવા પ્લેટફોર્મ પર ફરવા નીકળ્યો.
એક લાંબા ગાળા પછી હું મારા જેવા જ માણસોની વચ્ચે આવ્યો હોઉં તેવો અનુભવ થયો. સરસ કપડાં પહેરી કોઈને મૂકવા આવેલી સુંદર છોકરીમાં મને મીનાનો ચહેરો દેખાયો, સાંકડું પેન્ટ પહેરી ફરતા કોઈ યુવાનને જોઈ ભાણો યાદ આવ્યો. ઘણા બધાનો પહેરવેશ, ચાલવાની રીત, ચામડીનો ઘઉંવર્ણો તથા શ્યામ રંગ જોઈ આંખોને નવું નવું લાગતું હતું. તાજેતરમાં જ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ પૂરું થયું હતું તેથી છાપાં અને મૅગેઝિન વાંચવાની ઇન્તેજારી હું રોકી ન શક્યો. સ્ટોર પર જઈ મેં બે છાપા અને એક મૅગેઝિન લીધું. સમય પસાર કરવાનો જ હતો તેથી ચા પીવાનો વિચાર કર્યો. એક કપ ગરમાગરમ ચા લીધી અને ઠંડી થાય તેની રાહ જોયા વગર રકાબીમાં જ પીવાનું ચાલુ કર્યું. જો હું અમેરિકા ના ગયો હોત અને શરમને ત્યાં ન મૂકી આવ્યો હોત તો કદી જાહેરમાં રકાબીથી ચા ન પીવત. જીવનના વિવિધ પાસાંઓને હવે હું જુદી જ દૃષ્ટિથી જોતો હતો. કોઈ જોશે, શું કહેશે, વિચારશે, તેવી ચિંતા કરવાનો પ્રશ્ન જ ન હતો. એકાદ રકાબી ચા મેં પરાણે પીધી. ઓછા દૂધ અને વધુ ખાંડવાળી ચા બેસ્વાદ લાગી.
ગાડીમાં પેપરના મથાળાં વાંચવાં ચાલુ કર્યા. પાકિસ્તાનને સખત હાર આપ્યા પછી બધે જ વિજયનો આનંદ જણાઈ આવતો હતો. યુદ્ધ દરમ્યાનની નાની મોટી લડાઈઓમાં ભારતીય સૈન્યની વીરતાના ઘણા બનાવોનું વર્ણન અને અમેરિકાની ભારત વિરુદ્ધ નીતિની સખત નિંદાથી સમાચાર ભરાયેલા હતા. ટ્રેન મુંબઈ છોડી બહાર ખુલ્લા મેદાનમાંથી પસાર થઈ. સૂર્યદેવનાં કિરણોએ ધરતી પર પ્રકાશ ફેલાવ્યો તેનો પીળો તડકો ઝાડ પાનમાંથી પસાર થઈ કાચની બારી વાટે ડબ્બામાં પથરાયો. જે માટી ખાઈ હું મોટો થયો હતો, જે વૃક્ષનાં ફળ ચોકીદારની આંખ બચાવી ખાધાં હતાં, જે આકાશ નીચે મારા પ્રેમની શરૂઆત થઈ હતી, તે ભારત દેશમાં આવ્યાનો મને અસીમ આનંદ હતો.
અગિયાર વાગે ડાઇનિંગ કારનો વેઇટર ઑર્ડર લેવા આવ્યો. મને ભૂખ તો લાગી જ હતી, બે દિવસથી પેટ ભરીને જમ્યો ન હતો. આમેય મને બહારનું ખાવાનો શોખ અને લાંબા સમયથી ગુજરાતી ખોરાક ઘરે જ ખાતો હતો તેથી એક થાળીનો ઑર્ડર નોંધાવ્યો. જાડી રોટલી, ખાટું દહીં, કાચો ભાત મેં ધરાઈને ખાધો. સામાન્ય સંજોગોમાં એવું ખાવાનું ભાવે પણ નહીં, છતાં તે દિવસે થાળી ચોખ્ખી કરી.
બારી બહાર દૂર દૂર નજર કરી વારંવાર હું મીનાના વિચારોમાં ખોવાઈ ગયો, કાલે તો આ સમયે મીનાને મળી ચૂક્યો હોઈશ, અમારું સ્વપ્ન સાચું કરવાનું પહેલું પગલું અમે ભરી લીધું હશે.
પરંતું મીનાને મળ્યો ત્યારે તેણે મને લગ્ન માટે રાહ જોવાનું કહ્યું. તેણે તેના મમ્મી-પપ્પા ની બીકથી કે પોતાની મરજીથી લગ્નની તાત્કાલિક જરૂરિયાત માટેનો વિચાર બદલ્યો હશે. મારે રાહ જોવી ન હતી અને મારો તેના પરથી વિશ્વાસ ઉઠી ગયો. અમે બંને છૂટા પડ્યાં.
મીના સાથે લગ્ન કરવાનું, જીવન ગુજારવાનું અને કાયમ માટે સુખી થવાનું સ્વપ્ન ભંગ થઈ ગયું. તે માટે અમે બન્ને જવાબદાર હતા. અમારી પ્રિત સાચી હતી પણ પરિપકવ ન હતી તેથી સમય અને સ્વાર્થની કસોટી પાર ન કરી શકી.
હું નાસીપાસ થયો, પરંતુ જિંદગીથી હાર્યો હોઉં તેમ મારો જીવનમાંથી રસ નહોતો ઊડી ગયો. મારો સ્વભાવ અને વિચારો એવા હતા કે દરેક અણગમતા અનુભવમાં હું કશું શીખવાની અને આગળ વધવાની તક ખોળું. મને ખબર હતી કે મીનાને હું કદી નહીં ભૂલું પણ મારા જીવનમાં તેના અસ્તિત્વની ગેરહાજરીમાં પણ સુખી થઈ શકીશ. મારા જીવન ઝરણાં મીના વગર આગળ વહેશે. મેં વિચાર કર્યો કે મારે લગ્ન કરવું છે, અને હમણાં કે ભવિષ્યમાં એરેન્જડ મેરેજ જ કરવાનું છે, તો રાહ કેમ જોવી. મારે જિવનસંગિનીની જોઈતી હતી. હું અમેરિકાથી આવેલો, ભણેલો ગણેલો, સારા કુટુંબનો, ગ્રીનકાર્ડ ધરાવતો યુવાન હતો. સમાજમાં મારી કિંમત હતી, તેથી છોકરી શોધવી સહેલું હતું. અમારા ઘણા સગા અને ઓળખીતા લોકોને સમાચાર મળી ગયા કે હું મીના સાથે લગ્ન કરવાનો નથી. તેથી ત્રણેક અઠવાડિયા બાદ એક ભાઈએ મને અને મારા કુટુંબને પસંદ પડે તેવી યુવતી માટે વાત કરી. અમે બન્ને ફકત દસ મિનિટ માટે મળ્યા અને એક મહિનામાં મારું અમિતા સાથે લગ્ન થયું. મારા સદનસીબે, સ્વપ્નભંગ થવાની બીજી જ ક્ષણે, ભાગ્ય નો દરવાજો ખૂલ્યો. મને એવી પત્ની મળી કે જેણે મારું સુખીજીવન શક્ય બનાવ્યું છે.
બીજા અધ્યાયનો આ સાતમો શ્લોક છે. તેમાં અર્જુન કૃષ્ણને કહે છે કે, “ હું કાયર થઇ ગયો છું અને મૂઢ થઇ ગયો છું. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. એટલે હું તમારો શિષ્ય બનું છું અને મને ઉપદેશ આપો.”
કેટલીક વાર જીવનમાં એવા પ્રસંગો આવે છે કે વ્યક્તિને સમજ નથી પડતી કે તેણે શું કરવું. એવી પરિસ્થિતિ હોય છે કે તે નિર્ણય જ નથી લઇ શકતી અને કાયરતા અથવા લાચારી અનુભવે છે. જે અહંકારીઓ હોય છે તેઓ કોઈની સલાહ નથી લેતા અને મનમાંને મનમાં હેરાન થયા કરે છે, પણ જેઓ સ્વસ્થ અને વિચારક છે, તેઓ કોઈ બીજી સ્વસ્થ વ્યક્તિની સેવા લે છે અને પોતાની સમસ્યાનો ઉકેલ લાવે છે.
નિર્ણય ન લઇ શકવો કે મૂંઝાવું એ દુર્ઘટના નથી. ક્યારેક એવું બની શકે છે. પણ ત્યારે મનમાંને મનમાં દુખી કે હેરાન થવા બદલે બીજા ડાહ્યા માણસની સલાહ લેવી જોઈએ. અર્જુને પણ એમ જ કર્યું. તે સમજી શકતો ન હતો કે તેણે પોતાના સગાઓ સામે લડવું કે નહિ. એટલે તે કૃષ્ણ સામે કબૂલ કરે છે કે પોતે મૂંઝાઈ ગયો છે અને તેમને શરણે આવે છે અને શિષ્ય ભાવે માર્ગદર્શન માગે છે.
ગાંધીજી જયારે આફ્રિકામાં હતા અને ધર્મને સમજવા ઇચ્છતા હતા અને તેમને કેટલાક સવાલોના જવાબ નહોતા મળતા, ત્યારે તેમણે એક મોટા વિચારક અને ડાહ્યા માણસ એવા શ્રીમદ રાજચંદ્રજીને પુષ્કળ સવાલો પૂછ્યા અને સંતોષકારક જવાબો મેળવ્યા. તેમણે એમ ન વિચાર્યું કે પોતે તો મોટા વકીલ છે એટલે એક વેપારીને કેમ પૂછી શકે ! ના, તેઓ સમજતા હતા કે શ્રીમદ રાજ ચંદ્રજી ડહાપણયુક્ત જ્ઞાની છે. તેઓ સાચા જવાબો આપી શકશે. એટલે શિષ્ય ભાવે તેમના પાસે ગયા અને જરૂરી જ્ઞાન મેળવ્યું.
વ્યક્તિ જેટલી નમ્ર બનશે અને જ્ઞાની પાસે જઈ જ્ઞાન મેળવવા પ્રયાસ કરશે, તો તે વધારે ઝડપી સ્વસ્થ બનશે. શિષ્યભાવ જ્ઞાન મેળવવા માટે ઉત્તમ માનસિક સ્થિતિ છે.
ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારાં ભાઈબહેન છે એવા શબ્દોથી શરૂ થતાં પ્રતિજ્ઞાપત્રનું વાચન તો આપણે પ્રાથમિક શાળાઓથી કરાવીએ છીએ. પરંતુ ભારતીય કે ભારતનો નાગરિક કોણ અને કોઈ દેશની નાગરિકતા કઈ રીતે મેળવાય તથા તેના નિયમો શું છે તે વિષે બહુ ઓછું જાણીએ છીએ. હાલમાં નાગરિકતાનો સવાલ ચર્ચામાં છે.પહેલા સર્વોચ્ચ અદાલતે આધારકાર્ડને નાગરિકતાનો પુરાવો માનવા ઈન્કાર કર્યો. હવે ભારત સરકાર પાસપોર્ટને ટ્રાવેલ ડોક્યુમેન્ટ ગણાવે છે અને તેનાથી કોઈની નાગરિકતા પુરવાર થતી નથી તેવી સ્પષ્ટતા કરે છે. તો પછી નાગરિકતા પુરવાર થાય છે શાનાથી? એવા ક્યા આધાર,પુરાવા,પ્રમાણ છે કે જે નાગરિકતા પુરવાર કરે?
વ્યક્તિ અને સાર્વભૌમ રાજ્ય વચ્ચેનો કાનૂની સંબંધ એટલે નાગરિકતા. જેના દ્વારા વ્યક્તિને દેશની પૂર્ણ સદસ્યતા મળે છે. નાગરિકતા વ્યક્તિને તે દેશના રાજકીય, કાયદાકીય અને સામાજિક અધિકારો આપે છે. નાગરિકતા ઓળખ, અધિકાર અને ફરજ સાથે જોડાયેલી છે. ભારતમાં નાગરિકતાનો સવાલ આજકાલ બેહદ સંવેદનશીલ, ગંભીર અને મહત્વનો મુદ્દો છે. પાસપોર્ટ, આધારકાર્ડ, ચૂંટણી ઓળખપત્ર, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વીમાના કાગળો, જન્મનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનો દાખલો, ઘર કે જમીનની માલિકીના દસ્તાવેજો, ડોમિસાઈલ સર્ટિ- એવા સઘળા પુરાવા આપણી નાગરિકતા પુરવાર કરવામાં નિષ્ફળ ગયા છે.
આખી દુનિયામાં નાગરિકતા નક્કી કરવા માટે બે લેટિન શબ્દો જૂસ સૈંગ્યુનિસ અને જૂસ સોલીનો ઉપયોગ થાય છે. એટલે વંશ કે રક્ત સંબંધના આધારે નાગરિકતા અને દેશની ભૂમિ પર જન્મના આધારે નાગરિકતા.જન્મ અને વંશ ઉપરાંત રજિસ્ટ્રેશન અને નેચરલાઈઝેશનથી સિટિઝનશિપ મેળવી શકાય છે. સંવિધાન મુજબ નાગરિકતા કેન્દ્ર યાદીનો વિષય છે એટલે તેને લગતા કાયદા ઘડવાનો અધિકાર માત્ર અને માત્ર કેન્દ્ર સરકારને છે. નાગરિકતા સંબંધી કામગીરી ભારત સરકારના ગૃહ મંત્રાલય હસ્તક છે. ભારતીય બંધારણના ભાગ-૨, અનુચ્છેદ ૫ થી ૧૧ અને સિટિઝનશિપ એક્ટ, ૧૯૫૫ અને તેમાં થયેલા સુધારાઓની જોગવાઈઓ મુજબ ભારતમાં નાગરિકતા નક્કી કરવામાં આવે છે.
બંધારણનો આર્ટિકલ ૫ બંધારણના અમલથી નાગરિકતા અંગે છે. તેમાં જણાવ્યું છે કે બંધારણ અમલમાં આવ્યું તે સમયથી ભારતમાં જન્મેલ વ્યક્તિ, જેના માતા કે પિતા ભારતમાં જન્મેલા હોય અને જે બંધારણના અમલના પાંચ વરસ પહેલાંથી ભારતમાં રહેતાં હોય તેને આપોઆપ ભારતની નાગરિકતા મળે છે. પાકિસ્તાનથી ભારતમાં આવેલા લોકોની નાગરિકતા સંબંધી જોગવાઈ અનુચ્છેદ-૬માં છે. ૧૯ જુલાઈ ૧૯૪૮ પહેલાં પાકિસ્તાનથી ભારતમાં આવેલા લોકો ભારતના નાગરિક છે. ૧૯ જુલાઈ ૧૯૪૮ પછી ભારતમાં આવેલા લોકોએ નાગરિકતા મેળવવા ઓછામાં ઓછા છ મહિના ભારતમાં રહીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ બંને પ્રકારે નાગરિકતા મેળવતાં લોકોના માતા-પિતા, દાદા-દાદી કે નાના-નાની .પૈકી કોઈ એક ભારતમાં રહેતા હોવાં જોઈએ. વિભાજન પછી ભારતમાંથી પાકિસ્તાન ગયેલા અને પછી ભારત પરત આવેલા લોકોની નાગરિકતા અનુચ્છેદ ૭ થી નક્કી થાય છે. કોઈ વ્યક્તિ પહેલી માર્ચ ૧૯૪૭ પછી પાકિસ્તાન જતો રહ્યો હોય અને થોડા સમય બાદ ભારત પરત આવે તો તેને અનુચ્છેદ ૬ પ્રમાણે ૧૯ જુલાઈ ૧૯૪૮ પછી આવેલા લોકોની નાગરિકતા સંબંધી જોગવાઈઓ લાગુ પાડીને નાગરિકતાનો નિર્ણય કરવામાં આવે છે.
અનુચ્છેદ ૮ પ્રમાણે વિદેશમાં જન્મેલ કોઈ પણ બાળકના માતા-પિતા, દાદા-દાદી કે નાના-નાની ભારતના નાગરિક હોય તો તેને ભારતની નાગરિકતા મળી શકે છે. કોઈ ભારતનો નાગરિક બીજા દેશની નાગરિકતા મેળવે તો અનુચ્છેદ ૯ પ્રમાણે તેની ભારતની નાગરિકતા સમાપ્ત થાય છે. આર્ટિકલ ૧૦ માં અનુચ્છેદ ૫ થી ૯ પ્રમાણે જે ભારતનો નાગરિક છે તો તેને સંસદના નાગરિકતા અંગેના કાયદા મુજબ તેની નાગરિકતા કાયમી રહેશે. અનુછેદ ૧૧માં ભારતની સંસદને નાગરિકતા આપવા કે લેવા સંબંધના કાયદા ઘડવાની સત્તા આપતી જોગવાઈ છે.
બંધારણના આર્ટિકલ ૧૧ની જોગવાઈઓને આધીન નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ ઘડવામાં આવ્યો છે અને તેમાં સુધારા પણ થતા રહ્યા છે. ૧૯૮૬, ૨૦૦૩ અને ૨૦૧૯માં તેમાં મહત્વના સુધારા થયા છે. ૨૦૧૯માં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ભારતમાં આવી વસેલા હિંદુ, શિખ, જૈન, બૌધ્ધ, ખ્રિસ્તી અને પારસીને ભારતની નાગરિકતા આપવાનો મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાથી આ ત્રણ દેશોની ધાર્મિક લઘુમતીઓને ભારતની નાગરિકતા મળી શકશે.
પાસપોર્ટને દેશના મોટાભાગના લોકો નાગરિકતાનું સૌથી મોટું, વિશ્વસનીય અને આધારભૂત પ્રમાણ માને છે. પરંતુ પાસપોર્ટ ૧૯૬૭ના પાસપોર્ટ એક્ટથી આપવામાં આવે છે જ્યારે નાગરિકતા ૧૯૫૫ના કાયદાથી મળે છે. એટલે નાગરિકતાનો એકમાત્ર પુરાવો પાસપોર્ટ ન હોઈ શકે. દેશના બહુ અલ્પ હિસ્સા પાસે પાસપોર્ટ છે ૨૦૨૩ સુધીમાં ૮.૮ કરોડ અને ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં ૯.૩ કરોડ લોકો પાસે પાસપોર્ટ હતા. તેથી કુલ વસ્તીના ૬ થી ૭ ટકા પાસે જ જેનો પુરાવો હોય તે પાસપોર્ટ નાગરિકતાનો એકમાત્ર પુરાવો ન હોઈ શકે.
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
જન્મના આધારે નાગરિકતા મેળવતો વર્ગ આપણા દેશમાં બહુ મોટો છે. પરંતુ સંસદના વર્ષાસત્રમાં પસાર થયેલ જન્મ-મરણ નોંધણી સુધારા કાયદાની ચર્ચાઓ મુજબ હજુ ય દેશની ૮ થી ૧૦ ટકા વસ્તી જન્મ નોંધણી કરાવતી નથી. વળી જેમને જન્મના આધારે નાગરિકતા મળી છે તેમાંથી અડધા લોકો પાસે જન્મનું પ્રમાણપત્ર નથી કે હાથવગું નથી. આધારકાર્ડને સરકારી સબસિડી વિતરણ માટેની ઓળખનું કાર્ડ ગણવામાં આવે છે. પાનકાર્ડ કરદાતાનું ઓળખપત્ર છે. એટલે આ પુરાવા નાગરિકતા માટે બહુ ખપના નથી કે સહાયક આધારો છે.
શું કોઈ પણ દેશની નાગરિકતા હોવી કે લેવી અનિવાર્ય છે? એવો સવાલ થઈ શકે છે. તેના જવાબમાં નાગરિકતાવિહીન લોકોની દશા વિચારી લેવી જોઈએ. મ્યાંમારના લાખો રોહિંગ્યા મુસ્લિમો, કુર્દ અને પેલેસ્ટાઈનીઓ તરત સાંભરે છે. આઈવરી કોસ્ટના ૬.૯૨ લાખ લોકો, લાતિવિયાના ૨.૨૫ લાખ રશિયન આદિવાસીઓ, કુવૈતમાં વસતા ૯૨ હજાર લોકો, નેપાળ, થાઈલેન્ડ, વેનેજુએલા, સિરીયા અને બીજા એવા કેટલાક દેશોના કે તે દેશોમાં આવી શરણાર્થી તરીકે રહેતા લોકોની સ્થિતિ નાગરિકતાના અભાવે નહીં ઘરના નહીં ઘાટના જેવી અમાનવીય છે. ભારતમાં વસતા તિબેટી શરણાર્થીઓ પણ ભારતના નાગરિકો નથી.
વસુધૈવ કુટુંબકમની ભાવના પ્રમાણે તો કોઈ રાષ્ટ્રના સીમાડા અને નાગરિકતા હોવી જ ન જોઈએ એમ કહેવા પ્રેરે છે. પરંતુ હાલમાં તો એ શક્ય નથી. બીજી તરફ ભારતમાં નાગરિકતાનો પુરાવો આપવો જાણે કે દુર્લભ લાગે છે. કેમ કે રાજ્ય પોતે જ તેના દસ્તાવેજોને પ્રમાણભૂત માનતું નથી. લોકોને જે નાગરિકતા માટેનો પુરાવો લાગે છે તેવા પ્રમાણપત્રો કે દસ્તાવેજોની વિશ્વસનીયતા ખુદ રાજ્યે જ ખતમ કરી નાંખી છે. એ સ્થિતિમાં કોઈ એક આધારથી નહીં પણ બંધારણની જોગવાઈઓ અને ૧૯૫૫ના કાયદા મુજબ જ નાગરિકતા નક્કી થઈ શકે છે તે સ્વીકારવું રહ્યું.
નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.
‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્ક પર વાંચી શકાશે.
વિગત: કવિ છોટમનાં કુલ ૯૭ કાવ્યોને આ પુસ્તકમાં સમાવવામાં આવેલા છે. આ કાવ્યોને કુલ છ વિભાગમાં વિભાજીત કરાયાં છે: શ્રીશિવ-શક્તિની સ્તુતિ, શ્રીકૃષ્ણકીર્તન, ભક્તિપ્રબોધ, પ્રભુપ્રાર્થના, ભક્તિ-વૈરાગ્ય-જ્ઞાન તેમજ પ્રેમ-ભક્તિ (શૃંગાર) ઈ.
પુસ્તકના અંતે કહાનજી ધર્મસિંહનાં ‘અત્યુત્તમ નવનવીન ગ્રન્થો’ની યાદી તેમજ સંક્ષિપ્ત પરિચય મૂકવામાં આવ્યાં છે.
તા. ૩-૧૧-૯૧ :- આજ મારી તબીઅત નાદુરસ્ત હતી તેથી અમે બહાર ફરવા જઇ શક્યા નહિ, તોપણ કેટલાક વેપારીઓ કાશ્મીરમાં બનાવેલાં કેટલાંક રૂપાનાં અને ત્રાંબાના વાસણૉ અમારે ઉતારે લઈ આવ્યા હતા તે જોયાં. નકશીનું કામ ઘણુંજ વખાણવા લાયક હતું. કાશ્મીરની આ કારીગિરી ભુજના નકશીના કામની બરાબરી કરી શકે તેવીજ છે.
તા. ૪-૧૧-૯૧ :- આજ મારી તબીઅત સારી હતી. સૂર્યોદય થયો ત્યાર પછી ટાઢે થરથરતા બીછાનામાંથી ઉઠી, ગંગરીઓ ખોળામાં રાખી, દાતણ પાણી, સ્નાન વિગેરે નિત્ય કર્મ કરી, અને મિત્રોને કાગળ લખી જમી લીધું. બાર વાગ્યા હતા, સૂર્ય માથા પર આવ્યો હતો, તોપણ ઠંડી લાગતી હતી, તેથી ગરમ કપડાં પેહેરી લીધાં અને અમારી સોબતી ગંગરીઓ પણ કિસ્તીમાં સાથે રાખી લીધી. અમારે ડાલસરોવર જોવા જવું હતું. કિસ્તી ચાલવા લાગી, માંજીઓ હલેસાં મારવા લાગ્યા અને જ્યારે બીજી કિસ્તી નજરે પડતી ત્યારે સરત કર્યા વિના રહેતા નહિ. આ પ્રમાણે સરત કરતાં કોઇ વખત એકાદ માંજી પાણીંમાં ગબડી પડે છે. એક વખત અમારા જોવામાં પણ એવો પ્રસંગ આવ્યો હતો. અમારા ઉતારાથી આ સરોવર ચાર માઇલ દૂર હતું. ચોતરફ સુંદર દેખાવો જોતાં જોતાં બે કલાકની અંદર સરોવર પાસે પહોંચી ગયા.
આ રમણીય સરોવરમાં જતાં પહેલાં એક દરવાજામાંથી પસાર થવું પડે છે. આ દરવાજા પાસે સફેદ અને ભુરાં બદકોનાં વિખરાઇ ગયેલાં ટોળાં, ઊંચા નીચાં થતાં નજરે પડે છે. તેઓના કઠોર કલકલ અવાજ પાણીના ઘુઘવાટ સાથે મળી જાય છે. કિસ્તીની આવજા આ જગ્યોએ થોડી છે. આ દરવાજામાંથી પાણી એટલા જોરથી બહાર આવે છે કે, કિસ્તીને તળાવમાં દાખલ કરવી એ મુશ્કેલીનું કામ છે. અમે દરવાજામાં પ્રવેશ કર્યો. માંજી લોકો બુમો પાડી હલેસાં મારવા લાગ્યા પણ કિસ્તી બહાર નીકળી ગઇ. પછી ભીંતોમાં વાંસ ભરાવી મહા પ્રયત્ને ડાલ સરોવરમાં લીધી.
અહો ! આ બિચારા માંજીઓ માત્ર કાશ્મીરી જાર જેવા ચોખા, કમળની ડાંડલીઓ અને પાણીમાં ઉગતા કેટલાક છોડો પર પોતાનું ગુજરાન ચલાવે છે. દિવસમાં એકજ વખત પકાવે છે. અને પછી ટાઢું અનાજ ખાય છે. પંડિતોની લાકડીયો, ગાળો, અને જુલમ સહન કરે છે, વળી કાશ્મીરમાં શિયાળાની શરદીમાં માત્ર એક ફાટેલો જભ્ભો જ પહેરે છે છતાં તેઓની અજ્ઞાન અવસ્થાને લીધે તેઓ આને દુઃખ માનતા નથી, નફિકરા રહે છે અને પશુની માફક મજુરી કર્યા કરે છે.
સરોવરની અથવા સ્વર્ગની અંદર દાખલ થયા. પાણી પર કોમળ નીલા અને જરદવેલા, તેનાં કુમળાં, સુંદર અને પોપટિયા રંગનાં પાંદડાં, કેટલીક જગ્યાએ મખમલ જેવો દીસતો લીસો ચળકતો શેવાળ, અને કમળનાં નાનાં, ગોળ, લીલાં અને સુકાઇ ગયેલાં સોનેરી રંગનાં, અડાળીનાં આકારનાં પાનો છવાઇ ગયેલાં હોય છે ; તેઓ પર નાના, મોટાં, લાંબા, અને ગોળ, ચળકતાં, આમ તેમ રડતાં, ઘડીમાં મળી જતાં અને ઘડીમાં છૂટાં પડતાં સુશોભિત જલબિંદુઓ આકાશ પરના ખરતા તારાગણ અને અચલ ગૃહો જેવાં ભાસે છે. આ પાણીનાં ટીપાં અને આ પાન, ઘણે દીવસે ઘેર આવતા ભાઈને વધાવવાને જેમ બેને સાચાં મોતીથી સોનાનો થાળ ભરી રાખ્યો હોય તેવાં, વર્ષા ઋતુના અંધારા દિવસમાં કાળા ભીલોએ ધીટ જંગલના મદમત્ત વનગજોનાં ગંડસ્થલમાં તરવારોના પ્રહાર કરી લોહીથી ખરડાઈ ગયેલી રકાબીયોમાં મુક્તાફળ કાઢી લીધાં હોય તેવાં, અથવા રાતે જોસભર પડતા વરસાદનાં કણો જેવા વિજળીથી ચળકે છે તેવાં, નજરે પડે છે. તેઓના પર સૂર્યનાં કિરણો પડે છે તેથી તેઓ યુદ્ધ કરતાં પહેલાં કોઈ પૃથ્વીપતિનાં જડાવ કર્ણ પલ્લવ અથવા શરદ્ ઋતુની ચાંદની સમે શ્રીકૃષ્ણે કરેલી રાસક્રીડા સમાપ્ત થયા પછી તે જગાએ પડી રહેલાં ગોપ વધૂઓનાં રત્નજડિત રત્નપ્રભાથી ભરાઇ ગયેલાં ગાળાવાળાં નેપૂર જેવાં દીસે છે. તેઓમાં સૂર્યનાં સેંકડો બિંબ પડે છે, તેથી પ્રલય સમયના બ્રહ્માંડ જેવાં ભાસે છે. હલેસાંથી પાણીની શીતલ ફરફર ઊડે છે, અને તેમાં સૂર્યનો તડકો પડવાથી આમતેમ દોડતાં, ઘડીમાં દ્રષ્ટિમાં પડતાં અને ઘડીમાં અદૃશ્ય થઇ જતાં, વિચિત્ર આકારનાં અનેક ઇંદ્ર ધનુષો રચાય છે.
આથી આ સરોવર પંચરત્નની અખુટ ખાણ દેવદાનવોએ મંથન કર્યા પહેલાંના ચૌદ રત્નથી અલંકૃત રત્નાકર અથવા વસંત જેવું દિસે છે. આ અલૌકિક તળાવની એક બાજુએ હલતાં અને સ્થિર ગાઢાં કાળાં વાદળોથી કેટલાક ભાગમાં છવાયેલી, બરફની ઢંકાયેલી, ગંધકના રંગવાળી, નાની મોટી ધાર અને પાણીથી હાલતાં દીસતાં છરેરા, ઊંડી કોતરો, વૃક્ષઘટા અને ધુમ્મસથી ભયાનક, અંધારી અને વધારે ઉંડી દેખાતી ગુફાવાળી ટેકરીઓવાળા, આકાશને ટેકો દેતા પર્વતો આવી રહેલા છે. આ ભવ્ય મહાન ડુંગરો પરના બરફ પર કેટલીક જગાએ સૂર્યનાં ઉજ્જવળ કિરણ પડવાથી તેઓ ચાંદીનાં પત્રાંથી ઢંકાયેલ હોય, કાચથી છવાયેલ હોય અથવા જાણે કેમ અનેક ચંદ્રવાળાં અનેક રૂપ પ્રકટ કરેલ મહાદેવનાં કપાળ તેવા દીસે છે. આ તડકો ક્ષણેક્ષણે વધારે-ઓછા ચળકાટવાળો થયા કરે છે અને તેથી બરફના રંગ પણ પળે પળે બદલાયાં કરે છે.
બીજી બાજુએ, કિનારાપર, સુંદર નીલાં, સોટા જેવાં લાંબા સફેદાનાં, લાલ પાંદડાં વાળાં, સુવર્ણમય દીસતાં, ભમરડા આકારનાં, મનોરંજક ચીનારનાં અને એવાંજ બીજાં અતિ સુંદર વિવિધ પ્રકારનાં બીજાં અતિસુંદર વિવિધ પ્રકારનાં વૃક્ષોની એકલ છાયા આપતી કુંજોથી સુશોભિત બગીચા શોભી રહ્યા છે. તેઓની ઉપર તોળાઈ રહેલા, પાછળ ઉભા રહી ચોકી કરતા,દૃષ્ટિમર્યાદા સુધી દીસતી નાટકશાળાની બેઠકો જેવી, દૃષ્ટિને ખેંચી લેતા ટેકરીઓવાળા, બીજી બાજુના ડુંગરો સાથે જોડાઈ જઈ તળાવની આસપાસ કિલ્લો કરી દેતા પર્વતો પડેલા છે. એક ખુણા પરના શિખર પર ગરૂડ જેવું શંકરાચાર્યનું મંદિર અથવા તખ્તે સુલેમાન નજરે પડે છે. કીનારા પર ચોતરફ આવી રહેલા આ દેખાવોનું ચંદ્ર જેવા શીતળ, સ્ફટિક મણિ જેવા સ્વચ્છ અને કાચ જેવા પારદર્શક જલમાં પ્રતિબિંબ પડે છે જેથી આ પ્રદેશની રમણીયતા બેવડાય છે.
આ બિંબને જોકે હમેશાં પાણીમાંજ રહેવાનું છે તોપણ જળની શીતળતાથી તે કોઈ કોઈ વખતે જરા ધ્રૂજ્યા કરે છે. કેટલેક સ્થાને આ જળના વિશાલ દર્પણ પર લીલી લુઈ પથરાયેલી છે. જો આ જગત્ પર કોઈ સ્થલ મહાશ્વેતાનું અચ્છોદ સરોવર હોયતો તે આજ છે. આવા અદ્વિતીય દર્શનીય વસ્તુઓમાં ઉત્તમ પ્રદેશમાં અમારી કિસ્તી ધીમે ધીમે ચાલી કીનારા પાસે આવી પહોંચી. આ કિસ્તી તે જ વિમાન અને આ ડાલ તે જ સ્વર્ગ; ઓ દેવ ! આહા ! એ પણ એક સમય હતો !
કિસ્તી ઉભી રહી એટલે અમે ઉભા થયા અને નીચે ઉતર્યા. પહેલાં અમારે ચશ્મેશાઈ જે કીનારાથી આશરે સવા માઈલ દૂર છે, ત્યાં જવાનું હતું. દ્રાક્ષના વેલાઓની અંદર નાની સડક પર આડા અવળા અમે ચાલવા લાગ્યા. ટાઢ ઉડી ગઈ, ડગલા ઉતાર્યા, અગાડી ચાલ્યા. જમણી બાજુએ એક નાના ડુંગર પર પરીમહેલ જ્યાં જહાંગીર કોઇ કોઇ વખતે નૂરજહાં સાથે રહી આનંદમાં દિવસ ગુજારતો હતો તે નજરે પડ્યો. તે હાલ ખંડેર જેવો દેખાય છે. અમે ત્યાં ગયા નહિ પણ સડક પર ઉભા રહી દુરબીનથીજ તેનાં દર્શન કરી અગાડી વધ્યા. અર્ધા કલાકમાં ચશ્મેશાઈ પહોંચી ગયા.
શાહજહાંનો ચણાવેલો એક નાજુક બંગલો અહીં છે તેની અંદર ગયા. અહીં પર્વત પરથી પાણીનું એક ઝરણ આવે છે, આ ઝરણને અટકાવવાથી પાણી ફુવારામાં ચડે છે. બંગલાના એક ખુણા પાસે એક શીતળ જળનો ચશ્મો છે. આ પાણી ઘણુંજ સ્વાદિષ્ટ અને ઠંડું છે. મને તરશ નહોતી લાગી, નહિતો ખરેખાત ધરાઈ ધરાઈને તે પાણી પીત; તોપણ સૌએ પર્વતનું ચરણામૃત અથવા ચશ્માની પ્રસાદી લીધી. આ બાગ જોકે હાલ પડતીમાં છે, તોપણ ઘણો સુંદર છે તો જહાંગીરના વખતમાં તેની ખૂબી કેવી હશે ?
આ જગાએ કડીના રહીશ બાબુ કાલિદાસે અમારે માટે ચાર ટટ્ટુ અને એક ખચ્ચર તૈયાર રાખ્યાં હતાં. બાબુ કાલિદાસની સાથે અમારી મુલાકાત બીજી તારીખે થઇ હતી. તળાવની વચમાં બે તરતા ટાપુ છે એમ અમે સાંભળ્યું હતું, તેથી તે જોવાની જિજ્ઞાસાથી, ઘોડાં અને ખચ્ચરને નશાદબાગ મોકલી આપી, કિસ્તીમાં બેસી, તે આશ્ચર્યકારક અસાધારણ બેટ તરફ ચાલ્યા. ટાપુની પાસે જઇ તપાસી જોતાં માલૂમ પડ્યું કે આ તરતા ટાપુ નથી પણ માત્ર ટાપુજ છે. તેને છોડી નશાદબાગ તરફ અમે ચાલ્યા. થોડા વખતમાં ત્યાં પહોંચી ગયા. અહિં પણ એક નાનો બંગલો છે, અને ફુવારાની ગોઠવણ પણ સારી છે. બાગનો દેખાવ સાધારણ છે, નશાદબાગ જલદી છોડી, ટટ્ટુપર અસ્વાર થઇ શાલેમ્હાર બાગ તરફ ચાલવા લાગ્યા, કિસ્તીઓ પણ ત્યાં મોકલી આપી.
અમે જે ટટ્ટુપર બેઠા હતા તે કાશ્મીરી હતાં. આ ટટ્ટુ કદમાં નાનાં પણ મજબુત હોય છે, ડુંગર પર ઝડપથી અને સંભાળ રાખી ચડી જાય છે. ખચ્ચર પર રા. રા. રૂપશંકરભાઇ જે કુમાર શ્રી ગીગાભાઈ સાથે આવ્યા છે તે બેઠા હતા. ખચ્ચરને આ ઘોડાં સાથે દોડતાં ઘણી મુશ્કેલી પડતી હતી અને વારંવાર અટક્તું હતું તોપણ સોટીથી જરા શીખામણ આપવામાં આવતી ત્યારે દોડવા લાગતું હતું. આ પણ એક નવું વિમાન !
આહા, આ ઝાડનું પ્રતિબિંબ તળાવમાં કેવું મનોહર દિસે છે ! આ વાદળાંનો રંગ કેવો વિચિત્ર દેખાય છે ! જુઓ ! જુઓ ! ત્યાં તે ટેકરી પરના બરફનો રંગ વાદળું ખશી જવાથી, એકદમ કેવો બદલાઈ ગયો ! જમણા હાથ તરફના ડુંગરપર, જુઓ તો ખરા ! કેવા વિચિત્ર આકારનું વાદળું છવરાઈ રહ્યું છે ! અને ત્યાં પણ કેવાં નાનાં નાનાં વાદળાં દોડા દોડ કરે છે ! આવી આવી આનંદની વાતો કરતા કરતા કલાઇના પત્રોના બનાવેલા એક દરવાજાની પાસે અમે આવી પહોંચ્યા. આ દરવાજો શાલેમ્હાર બાગનો હતો. આ બાગની આસપાસ એક દીવાલ છે, તેની અંદર અમે ગયા. અગાડી જોયેલા બાગ જેવોજ આ બાગનો દેખાવ છે. અમે સાંભળ્યું હતું કે અહિં શાહજહાંનું એક ઘણું સારૂં તખ્ત છે. માળીને તે બતાવવા કહ્યું. તે અમને એક સુંદર બંગલામાં લઈ ગયો પણ તખ્ત અમે ક્યાંઇ જોયું નહિ. માળીને પુછતાં માલૂમ પડ્યું કે આ બંગલો તે જ તખ્ત કહેવાય છે.
આ બાગમાં આમતેમ ફરી અમે બહાર નીકળ્યા. અને ટટ્ટુ પર બેશી કિસ્તી તરફ ચાલ્યા. આ બાગના દરવાજા સુધી એક નહેર ખોદેલી છે પણ તેમાં માત્ર વસંત ઋતુમાંજ પાણી રહે છે. વસંતમાં પાણી દરેક જગાએ વધારે હોય છે કેમ કે તે વખતે પર્વત પરના બરફ પીગળે છે. આ સુકાઈ ગયેલી નહેરની બન્ને બાજુએ ચીનારના ઝાડની સીધી હાર છે. આ વૃક્ષોની સુંદર ઘટા નીચે અમે ઘોડાંને દોડાવતા ચોતરફ આવેલ ખુબસુરત દેખાવો પર નજર ફેરવતા ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા એટલે કિસ્તી ચાલી શકે તેટલું પાણી આવ્યું. અહિં અમારી કિસ્તીઓ તૈયાર હતી તેથી ઘોડા પરથી ઊતરી, તેઓને બાબુ કાલિદાસને ઘેર લઈ જવા ખાસદારોને કહી કિસ્તીમાં બેઠા. ને નસીમબાગ તરફ ચાલ્યા.
પાણી પર કમલ અને લુઇ એટલાં ઘીટ ઉગેલાં છે કે માણસો તેના પર ધુળ પાથરી ચિભડાં અને બીજી વનસ્પતિ વાવે છે. આ પ્રદેશ જમીન જેવો દેખાય છે પણ જો કોઇ માણસ અજાણતાં તે ઉપર ઉતરે તો બુડી જાય અને વેલાઓમાં એવો ઘુંચવાઇ જાય કે પાછો બહાર નીકળી કે તરી શકે નહિ. આ તરતી, ત્રિશ્ંકુના સ્વર્ગ જેવી જમીનની અંદર ન્હાંની કિસ્તી ચાલી શકે તેવી ગલીઓ રાખેલી છે. કમલનાં પાન, લીલી લુઇ, તે પર ઉગેલી વનસ્પતિ, ધુળના ક્યારા અને પાણીની સડકો અતિશય સુશોભિત અને રમ્ય ભાસે છે. ૯. નસીમબાગ નજદીક આવી ગયો પણ સાંજ પડી જવા આવી અને અમારો ઉતારો દૂર હતો તેથી અમે તે બાગ દૂરથીજ જોઈ લીધો ; અંદર ગયા નહિ. આ બાગ તળાવના એક કીનારા પર આવેલો છે તેથી તળાવમાંથી ઘણો સુંદર દેખાય છે પણ બગીચાની અંદર ગયા પછી તે ખુબી નજરે પડતી નથી.
સૂર્ય પશ્ચિમમાં અધોગતિ કરવા લાગ્યો, સંધ્યારાગ ખીલી નીકળ્યો. પૃથ્વી, આકાશ, પાણી અને વિશેષ કરીને પશ્ચિમ દિશાનું મુખ લાલચોળ થઇ ગયાં. સૂર્ય દેવતાનાં તપાવેલા સુવર્ણના રેષા જેવાં કીરણો, લાંબા થઇ પૃથ્વીના પશ્ચિમ છેડાને સ્પર્શ કરવા લાગ્યાં, જળમાં પડતાં વૃક્ષાદિનાં પ્રતિબિંબ ભુંસાઈ જવા લાગ્યાં, વૃક્ષ ઘટામાં નાનાં ચકલાં ચીંચીં કરવા લાગી ગયાં. કાગડાનાં ટોળાં કઠોર છતાં તે વખતે આનંદકારી લાગતાં; કૌંચ શબ્દો કરતાં જુદી જુદી દિશામાં ઉડી જતાં નજરે પડતાં હતાં.
થોડીવારમાં તો આ સુંદર દેખાવ અને આ મધુર અવાજ દેખાતાં અને સંભળાતાં બંધ પડ્યા. સૂર્ય બિંબ અદ્રશ્ય થઇ ગયું. નાના છોડ, કુમળી વેલી, અને મહાન વૃક્ષો એક બીજા સાથે મળી જતા હોય, એક રૂપ થઇ જતા હોય, અને દિશાઓ વિસ્તાર પામતી હોય તેવું ભાસવા લાગ્યું ! ઋષિઓ ચારે દિશામાં હોમ કરતા હોય અને વેદિઓમાંથી ધુમાડાના ગોટા ઊંચા ચડતા હોય, બીજા જન્મેજયે સર્પ કુલનો નાશ કરવા યજ્ઞ આરંભ્યો હોય અને તેથી જાણે ચોતરફ આકાશમાંથી કાળા સર્પનો વરસાદ પડતો હોય, કાળા વેલા જાણે એકદમ પૃથ્વીમાંથી નીસરી ઘુમ્મટ જેવા આકાશ પર ચારે કોર ચડી જતા હોય, પૃથ્વીને ઘેરી લેવા કલિનું કાળું લશ્કર જાણે આવતું હોય અથવા ભૂમિના પર્વત ભાગો જાણે મહાપ્રલયના જળમાં ડુબી જતા હોય, તેમ અંધારૂં વ્યાપવા લાગ્યું ! નાના મોટા તારા સતેજ થયા અને અંધારાને મદદ આપતા ધુમ્મસમાં ચળકવા લાગ્યા; આકાશ પાસે આવવા લાગ્યું. આગિયા અહિં તહિં ઝબકવા લાગ્યા. ઠંડી પડવા લાગી તેથી અમે ગરમ કપડાં પહેરી કિસ્તીમાં બેસી ગયા. માંજીલોકો ગંગરીમાં કોલસા ભરવા લાગ્યા.
‘ ગંગરી ‘ એ શબ્દ વારંવાર વાપરવો પડે છે તેથી તે શબ્દનો ખરો અર્થ સમજવો જોઈએ. માટીના હાંડલી જેવા વાસણની ચારે બાજુ બરૂ ગુંથેલ હોય છે, તેની ઉપર એક નાકું હોય છે. આ વાસણમાં અંગારા ભરી ગરીબ માણસો નાકામાં દોરી નાંખી ટાઢ પડતી હોય છે ત્યારે જભ્ભાની અંદર ડોકે તેને ટાંગી દે છે. આ ગંગરી બે પૈસાની એક મળી શકે છે. ઘરમાં જેટલાં માણસ હોય છે તેટલીજ ગંગરીયો હોય છે. ન્હાનું બાળક પણ ગંગરી ડોકમાં પહેરી ફર્યા કરે છે. જેમ સુધરેલ હમશાં હાથમાં સોટી રાખે છે તેમ માંજી લોકો ગંગરી હમેશાં સાથેજ રાખે છે.
જે દરવાજામાંથી અમે તળાવમાં દાખલ થયા હતા તે જ દરવાજામાંથી બહાર નીકળ્યા. આ વખતે કિસ્તી તીરની માફક દરવાજા બહાર નીકળી ગઈ, કેમકે પાણીનું તાણ અનુકૂળ હતું. આ તળાવ સારી રીતે જોતાં એક અઠવાડીઊં થાય તે અમે માત્ર એકજ દિવસમાં જોયું ! એક સ્વપ્ન જેવું થઈ ગયું ! કિસ્તી બજારમાં ચાલવા લાગી, કેટક્લાક પંડિતોનાં લગ્ન હતાં તેથી સ્ત્રીઓ ગીત ગાતી હતી તે અમે સાંભળતા સાંભળતા ઉતારા પાસે આવી પહોંચ્યા.
પંડિતાણીઓ જે સફેદ ટોપી પહેરે છે તેમાં બે તરફ ન્હાનાં કાણાં રાખે છે, અને તેની અંદર લાંબા ઢોળિયા જેવાં ઘરેણાં પહેરે છે. વળી આ ટોપી પર નાનું ઓઢણું ઓઢે છે. આ રીવાજની મને આજજ ખબર પડી.
રાતના આશરે આઠ વાગે ઉતારે પહોંચ્યા, વાળુ કર્યું અને સગડી(હાર્થ)માં લાકડાં સળગાવી બિછાનામાં સુતા, સુતાં સુતાં હું વિચાર કરતો હતો કે : ખરેખાત કાશ્મીરમાંજ ઈશ્વરની રમણીય રચનાનો વર્ષાદ વર્ષી ગયો છે. વળી હિંદુસ્તાન આવાં સુંદર સ્થળોનો માળીક હોવાથી કેવો ભાગ્યશાલી કહેવાય ! વિંધ્યાટવીનો પ્રદેશ પણ કાંઇ ઓછી ખુબીવાળો ગણાતો નથી, અને દક્ષિણ પણ રમણીયતામાં ઉતરે તેમ નથી. ભવભૂતિ, કાલિદાસાદિ કવિઓની અગાધ કલ્પના શક્તિનું પણ આજ સૃષ્ટિ સૌંદર્ય મુળ કારણ છે. પણ અતિશય થવાથી કઈ વસ્તુ હાનિ કરતી નથી ? આ દેખાવો આનંદની સાથે દુઃખ દેનાર પણ ક્યાં ઓછા થયા છે ?
આર્યાવર્તમાં કુદરતની અતિશય ભવ્યલીલાથી માણસોની કલ્પનાશક્તિ અતિશય વધી ગઇ અને તેથી ખરી વિચારશક્તિની ખામી રહી ગઇ ! અને માણસો વહેમીલાં થઇ ગયાં. કાળીના બલિદાનાર્થે હજારો માણસના જીવ ગયા છે, પિતૃ પીડા અને ભૂતપલિતથી સેંકડો માણસો રીબાય છે, આવતા જન્મમાં સુખી થવા માટે, કાશીમાં કરવત મેલાવી, ગિરનાર પર ભૈરવજપ ખાઇ, હિમાલયમાં ગળી, કમલપૂજા ખાઇ અને એવા અનેક પ્રકારે કરોડો અજ્ઞાની અને વહેમી આર્ય બંધુઓએ કમકમાટી ઉત્પન્ન કરે તેવી રીતે આત્મઘાત કરેલ છે! કુદરત સામે બાથ ભીડવા શક્તિમાન ન હોવાથી હજારો જડવસ્તુઓને ઈશ્વરપદ આપેલ છે, દેવ બનાવેલ છે અને પૂજેલ છે. પરમબ્રહ્મની કૃપાથી તે ધુન્ન હવે મગજમાંથી દૂર થવા લાગી છે, તોપણ દૃઢ આગ્રહથી હીંમત રાખી એક કાર્ય પાછળ મંડ્યા રહેવું એ બ્રિટનોની ખાસીયત હજી હીંદુ ભાઇઓથી ઘણી દૂર રહેલી છે. અલબત ક્યાંઇ ક્યાંઇ આ ગુણ પણ ચમત્કારો બતાવે છે, પણ તે મહા ગુણ સર્વવ્યાપક ક્યારે થશે ? હજી ઘણી વાર છે. તેમાં આર્ય બંધુઓનો દોષ નથી. જ્યારે જ્ઞાન વહેમને દૂર કરશે ત્યારે એની મેળે બધાં સારાંવાના થશે. હવે તો વિદ્યાની સાથે ગાઢ પ્રેમ બાંધવો જોઇએ. એ શસ્ત્ર ક્યાંઇ છૂપું રહે તેવું નથી. સૂર્ય ઉગ્યો એટલે અજવાળું થવાનુંજ અને ધુમ્મસ ઉડી જવાનો, અસ્તુ.
આવા આવા વિચારોમાં મને ઉંઘ આવી ગઇ અને સુસ્વપ્નમાં રાત્રી નીકળી ગઇ.