-
સંસ્કૃત – શ્લોક/સુભાષિતો : શ્રેષ્ઠ છે તે જ સાચો વિજય પામે છે
દેવિકા ધ્રુવ
जयन्ति ते सुकृतिनो रससिद्धाः कवीश्वराः।
नास्ति येषां यशः काये जरामरणजं भयम्॥સમાસ વિભાજન અને શબ્દશ: ગુજરાતી અર્થ
जयन्ति=વિજય પામે છે. ते = તે લોકો, सुकृतिनो=સારાં કાર્યો કરનારા, रससिद्धाः=રસોમાં સિદ્ધિ પામેલા, कवीश्वराः =કવિઓમાં સૌથી શ્રેષ્ઠ
नास्ति= न+अस्ति. न=નહિ +अस्ति=હોવું= નથી., येषां= તેઓની यशः=યશ,કીર્તિ. काये=શરીર, मरणजं= जरा+मरण+जं जरा=વૃદ્ધાવસ્થા, मरण=મૃત્યુ,जं=ને કારણે જન્મતો भयम्= બીક.ભય
શ્લોકનું ગુજરાતી ભાષાંતર:
સારા ગુણીજનો, કાવ્યરસમાં સિદ્ધિ પામેલા અને કવિઓમાં શ્રેષ્ઠ છે તે જ સાચો વિજય પામે છે.
તેમને કીર્તિ, કે યશ, શરીર, ઘડપણ કે મૃત્યુ જેવો ભય લાગતો નથી.
વિચારવિસ્તાર:
આ શ્લોકમાં સારું અને ઊંચું લખનાર અને સારાં કાર્યો કરનાર વ્યક્તિઓ વિશે જણાવ્યું છે. એવી વ્યક્તિઓને યશનો મોહ નથી. શરીર કે દેખાવની ફિકર નથી
અને વળી વૃદ્ધાવસ્થા કે મૃત્યુની પણ બીક નથી. તેથી એવા કવિઓનો વિજય થાય છે.
Sanskrit shlok in English script:
Jayanti te sukrutino rasasiddhaaha kaveeshvaraaha.
Naasti yeshaam yashah kaaye jaramaranajam bhayam.Word to word meaning in English:
Jayanti= getting success, Te = they, Sukrutino = persons doing quality deeds, Rasasiddhaah = Ras+siddhaha= accomplished in poetry, Kaveeshvaraah =Kavi+ishvaraha= like a lord among poets.
Naasti = na+ asti=na=not, asti=existent= nonexistent, Yeshaam = to whom. Yashah = fame. Kaaye = body, Jaraamaranajam = jaraa +maranajam. Jaraa = old age, Maranajam = produced by fear of death.Translation in English:
Persons doing virtuous deeds who are well versed in poetry, lords among poets, whose fame is not dependent on the
physique and also who are not afraid of old age and death; are the real winners in life.
Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
-
‘ગુસ્સે થયેલા ન દેખાવ. કેમેરા ચાલુ છે.’
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
‘કોઈ પ્રદર્શનકારી તમારા ચહેરા આગળ મોબાઇલ ધરીને સવાલો પૂછે તો શું કરશો?’
‘એને જવાબ આપીશું.’
‘ના. શાંત રહેવાનું.’
‘પણ એ સતત ઉશ્કેરતો રહે તો?’
‘ત્યારે પણ નહીં. કેમ કે, તમારો ગુસ્સો જ એનું કન્ટેન્ટ બની શકે.’
જંતરમંતર પરના વિરોધપ્રદર્શન પછીના થોડા સમયે દિલ્હી પોલીસને આપવામાં આવેલી સૂચનાઓનો સાર કંઈક આવો છે. પોલીસોને સમજાવવામાં આવ્યું છે કે ફરજ બજાવતી વખતે હવે માત્ર ભીડ પર જ નહીં, પોતાના વર્તન અને ચહેરાના હાવભાવ પર પણ કાબૂ રાખવો પડશે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી તેમને પૂછાતા સવાલો કેવા હોઈ શકે તેની પણ કલ્પના કરવામાં આવી છે: ‘તમને તમારા કામ પર ગર્વ છે?’, ‘તમને રાત્રે ઊંઘ કેવી રીતે આવે છે?’, ‘તમારા બાળકોને જઈને તમે શું કહેશો?’ આવા સવાલોના જવાબ આપવાની જરૂર નથી. કોઈ જ ચર્ચામાં ઊતરવાનું નથી. કેમેરાને હડસેલવાનો પ્રયાસ પણ કરવાનો નથી. તેમની પર થતી મજાક કે કટાક્ષનો જવાબ આપવાનો નથી. કોઈ ગીત ગાય, નાચે, નકલી સલામી આપે કે ચા-ફૂલ-મીઠાઈ આપીને પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કરે તો પણ શાંત રહેવાનું.
પહેલાં પોલીસકર્મીનો ગુસ્સો કદાચ ત્યાં ઊભેલા થોડા લોકો જ જોતા. હવે એ જ ગુસ્સો કેમેરામાં કેદ થઈને હજારો લોકો સુધી પહોંચી શકે છે. હવે કોઈની પાસે મોબાઇલ ફોન છે અને કેમેરો ચાલુ હોય છે. જે કંઈ બન્યું તેનો થોડો ભાગ રેકોર્ડ થયો કે તરત તે બીજા સ્થળે પહોંચી શકે છે. આખી ઘટનામાંથી દસ-વીસ સેકન્ડ પસંદ કરી શકાય છે. એની પર મનગમતી ટીપ્પણી લખી શકાય છે. બસ, એક વાર એ ફરતું થાય કે પછી ચર્ચા શરૂ.
સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોએ વિરોધ કરવાની લોકોની રીત પણ બદલી છે. હવે માત્ર પોતાની વાત કહેવી પૂરતી નથી; ઘણી વાર સામેની વ્યક્તિની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ પણ વિરોધનો એક ભાગ બની જાય છે. પોલીસને સવાલ પૂછવામાં આવે છે, ફરી ફરી પૂછવામાં આવે છે, કટાક્ષ કરવામાં આવે છે—કદાચ એટલા માટે કે કોઈ એક ક્ષણે તે કાબૂ ગુમાવે કે એ ક્ષણ કેમેરામાં કેદ થઈ જાય. દિલ્હી પોલીસની માર્ગદર્શિકામાં આ બાબતને લઈને ખાસ સાવધ રહેવાનું કહેવામાં આવ્યું છે.
અલબત્ત, આ આખી વાતને ‘પ્રદર્શનકારીઓ પોલીસને ઉશ્કેરે છે’ એટલા પૂરતી સીમિત શી રીતે કરી શકાય? વિરોધ કરનારને સવાલ પૂછવાનો પૂરેપૂરો અધિકાર છે. પોલીસની કામગીરી અંગે પ્રશ્ન કરવાનો અધિકાર છે. સત્તાને અસ્વસ્થ કરવાનો પણ અધિકાર છે. લોકશાહીમાં અસંમતિનો અધિકાર પાયાનો છે.
સવાલ એ છે કે વિરોધનો હેતુ શો છે—પોતાની વાત કહેવી કે સામેની વ્યક્તિ પાસેથી કોઈ ગુસ્સાભરી ક્ષણ પડાવી લેવી? જરા વિચારીએ તો ખ્યાલ આવશે કે કેમેરા માત્ર પોલીસની ભૂલ જ બતાવતો નથી. પોલીસકર્મી કોઈ ઘાયલ પ્રદર્શનકારીને મદદ કરે તે પણ કેમેરામાં આવી શકે છે. કોઈ વૃદ્ધને ભીડમાંથી બહાર કાઢે તે પણ રેકોર્ડ થઈ શકે છે. કોઈ બાળક માતા-પિતાથી છૂટું પડી જાય અને તેને પાછું પહોંચાડે તે પણ લોકો જોઈ શકે છે.
દિલ્હી પોલીસની સૂચનાઓમાં આવી બાબતોનો પણ સમાવેશ છે. કોઈ વ્યક્તિ પડી જાય, બેભાન થાય કે ઘાયલ થાય તો તરત મદદ કરવી, એમ્બ્યુલન્સ બોલાવવી, વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ લોકોનું ધ્યાન રાખવું. મહિલા પ્રદર્શનકારીઓ સાથે શક્ય હોય ત્યાં સુધી મહિલા પોલીસકર્મીઓ દ્વારા વ્યવહાર કરવો.
આ સૂચનાઓ કદાચ સામાન્ય લાગે. તેમાં એક મહત્વની વાત છે કે પોલીસની ફરજ માત્ર ભીડને વિખેરવાની નથી.
સામે ઊભેલો જણ પણ માણસ છે. અને પોલીસકર્મી પણ માણસ છે. વિરોધપ્રદર્શન દરમિયાન બંને પોતપોતાની ભૂમિકામાં ઊભા હોય છે. એકને લાગે છે કે તેની વાત સાંભળવામાં આવતી નથી; બીજાને પોતાની ફરજ બજાવવાની હોય છે. એક તરફ ગુસ્સો હોય છે, બીજી તરફ દબાણ. આવી સ્થિતિમાં એક ઉશ્કેરાટની નાનકડી ક્ષણ પણ મોટી ઘટનામાં રૂપાંતરીત થઈ શકે છે.
પહેલાં આવો બનાવ કદાચ થોડા લોકો જ જોતા. હવે આખી દુનિયા જોઈ શકે છે. આથી પોલીસને આપવામાં આવેલી આવી સલાહનો એક અર્થ એવો પણ થાય છે કે કેમેરા સામેનું વર્તન હવે ફરજનો જ એક ભાગ છે. પોલીસ જે કરે છે તે માત્ર સ્થળ પર હાજર લોકો માટે નથી. તે કદાચ થોડી જ વારમાં લાખો લોકો માટેનું દૃશ્ય બની શકે છે.
પણ આ જવાબદારી માત્ર પોલીસની કહી શકાય? કેમેરો હાથમાં હોય ત્યારે પ્રદર્શનકારી પાસે પણ એક પસંદગી છે. તે કોઈને ઉશ્કેરીને વીડિયો બનાવી શકે છે, અથવા પોતાની વાત એવી રીતે પણ કહી શકે કે સામેની વ્યક્તિને અપમાનિત કર્યા વિના અસહમતિ વ્યક્ત થાય.
આ કદાચ આજના વિરોધપ્રદર્શનનો સૌથી મુશ્કેલ પાઠ છે. એવું નથી કે કેમેરો ચાલુ છે એટલે દરેક જણ અભિનય કરી રહ્યો છે. પણ કેમેરો ચાલુ હોય ત્યારે દરેકની એક ક્ષણ કાયમી બની શકે છે. આ વાતને હજી આગળ લઈ જઈએ તો સવાલ માત્ર પોલીસને જ નહીં, વિરોધ કરનારને પણ પૂછવો પડે કે આપણે વિરોધ કરી રહ્યા છીએ કે કોઈની ઉગ્ર પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છીએ? બંને વચ્ચેનો તફાવત નાનો જણાય, પણ લોકશાહીમાં એ બહુ મોટો તફાવત છે.
કેમેરા સામે સંયમ રાખવાની સલાહ જરૂરી છે, પણ પોલીસને સૂચના આપનારા એ સમજી શકશે ખરા કે કેમેરાથી બચવા કરતાં એવું વર્તન કરવું વધુ જરૂરી છે, જેને કેમેરાથી છુપાવવાની જરૂર જ ન પડે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩- ૯– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
વામા-વિશ્વ : ભારતની પ્રથમ અને એકમાત્ર મહિલા મરીન પાઇલટ રેશમા નીલોફર
જેને જીવનમાં આગળ વધવું છે અને મહેનત કરવી છે તેને માટે ખુલ્લુ આકાશ છે જેમાં છોકરા કે છોકરીનો કોઈ ભેદ નથી.
અનુરાધા દેરાસરી
આજે વાત કરવી છે, મરીન પાઇલટ એટલે, દરિયાઈ પાઇલટની. સામાન્ય રીતે પાઇલટ શબ્દ આવે એટલે, આપણા માનસપટ પર વિમાન ચલાવતી વ્યક્તિનું ચિત્ર ઉપસી આવે, પણ ના આ દરિયાઈ-મરીન પાઇલટ એટલે મોટા મોટા શીપો (વહાણો) જ્યારે દરિયા કે મોટી નદીના બંદરો પર લાંગરે અને પછી પાછા મુસાફરી શરૂ કરે ત્યારે શીપના કેપ્ટનને જે મદદ કરે. તેને મરીન દરિયાઈ પાઇલટ કહેવામાં આવે છે.
આખા વિશ્વના દેશોમાં થઈને મહિલા મરીન પાઇલટ લગભગ ૧.૫% થી ૨% સુધી જ છે. ભારતમાં ફક્ત એક જ મરીન-દરિયાઈ પાઇલટ છે. રેશ્મા નીલોફર. હાલમાં રેશ્મા નીલોફર, ભારતના સૌથી અઘરા બંદર હુગલી નદી પર મહિલા મરીન પાઇલટ તરીકે કામગીરી બજાવી રહી છે.રેશ્મા નીલોફરને મહિલા મરીન પાઇલટની ફરજ બજાવવા માટે ‘નારી રત્ન’ ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક (સીવીલીયન) એવોર્ડ મળી ચૂક્યો છે. રેશ્માના બાળપણના ઉછેર પરથી મરીન પાઇલટ સુધીની તેની જીવનકહાની પર ફોકસ કરીએ.
ચેન્નાઈના મધ્યમવર્ગીય પરિવારમાં બે બહેનોનો જન્મ અને ઉછેર. માતા પિતા, તેમાં ખાસ કરીને માતાએ રેશ્મા સમજણી થઈ ત્યારથી સમજાવેલું કે, ‘જો જીવનમાં કંઈ આગવું કરવું હોય તો હિંમત અને દૃઢમનોબળની પાંખો વડે જીવન આકાશમાં ઉડવું પડે. ખાસ એ વાત પર ભાર મૂકેલો કે કોઈ પણ જીવનની બાબતમાં છોકરા/છોકરીનો જાતીયભેદ હોતો નથી. આ કાર્ય છોકરીઓ નહીં કરી શકે ને છોકરાઓ કરી શકશે એ માનસિકતા, સમાજે ઊભી કરેલી છે. ઈશ્વર જન્મ સાથે એવો કોઈ ભેદભાવ આપતો નથી.’
શાળાનું જીવન પુરું થયું. હવે આગળની કારકિર્દી આવી, રેશ્માએ ચીલાચાલુ ડૉક્ટર, એન્જીનીયર, સીએ, એમબીએ વગેરે કારકિર્દીમાં રસ ન હતો, તેને કંઈક આગવું કરવું હતું. બધાથી જુદી જ કારકિર્દી બનાવવી હતી. એ દરમ્યાન પેપરમાં મરીન-પાઇલટના ચાર વર્ષના કોર્સની જાહેરાત આવી, અને તેણે મરીન કોલેજમાં અરજી કરી અને એન્ટ્રન્સ એક્ઝામ આપી તે પસંદગી પામી. શરૂ થયું મરીન કૉલેજનું રેશ્મા નીલોફરનું ભણતર.
રેશ્મા નીલોફર જણાવે છે કે, ‘અમારી મરીન કોલેજમાં અમારી બેચમાં ૨૫૦ વિદ્યાર્થીઓમાં અમે પાંચ જ છોકરીઓ વિદ્યાર્થીનીઓ હતી. અને આખી કોલેજમાં ૫૦૦૦ વિદ્યાર્થીઓમાં અમે પાંચ વિદ્યાર્થિની. તો શું થઈ ગયું ?’
અમારા પ્રોફેસરો અમને પ્રશ્ન કરતા કે તમે આ લાઈનમાં આવ્યા તો છો પરંતુ કેટલા વર્ષો ટકી શકશો ? મોટા મોટા શીપની લાંબી મુસાફરીઓ કરી શકશો ? ને એટલી શારીરિક ને માનસિક તાકાત જોઈએ જે છોકરાઓમાં જ હોય, છોકરીઓમાં હોતી નથી. એટલે થોડું કામ કરી તમે છોડી દેશો અથવા પરણીને માતા બનશો પછી આ મરીન પાઇલટશીપની કારકિર્દી પર પૂર્ણવિરામ.’ આ નકારાત્મકતાની અસર તેના પર થઈ નહીં. રેશ્મા નીલોફર હારી નહીં, તેને તો માતા તરફથી જીવનમાં સખત મહેનત કરવાના અને હિંમતથી કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવાના જાતીયભેદને અવગણીને, મહેનત કરવાના સંસ્કારો હતા. આથી તે જરાય પાછી પડી નહીં, અને તેણે ચાર વર્ષનો મરીન પાઇલટનો કોર્સ પૂરો કર્યો. અને તેની ટ્રેનીંગ લેવાનું શરૂ કર્યું.
દરિયાઈ પાઇલટ માટે, ટ્રેઈનીને મુસાફરી શીપમાં અને કાર્ગો શીપમાં મુસાફરી કરવાની હોય છે. રેશ્માએ તે પણ પૂરી કરી અને શરૂ થઈ રેશ્માની પ્રથમ મહિલા દરિયાઈ પાઇલટ તરીકેની કામગીરી.
વિશેષમાં રેશ્મા નીલોફર, મરીન પાઇલટની કામગીરી સમજાવતા કહે છે કે, ‘શીપના મુખ્યકર્તાહર્તા તો, વહાણના કેપ્ટન જ હોય છે પરંતુ જ્યારે શીપ બંદરની નજીક બોર્ડ થવા આવે એ પહેલા, થોડે દૂર સલામત અને સફળ બોર્ડિંગ માટે, બંદરના જાણકાર વ્યક્તિ તેમજ, શીપને સફળ રીતે બંદર પર લાવી શકે તે માટે એક વ્યક્તિની જરૂર પડે છે. તેવી જ રીતે જ્યારે, શીપ બંદર પરથી દરિયા તરફ જાય ત્યારે, સફળ રીતે બંદર છોડી, દરિયામાં પ્રવેશે તે માટે પણ તે જ વ્યક્તિની જરૂર હોય છે. આ વ્યક્તિ એટલે શીપના કેપ્ટનની મદદગાર મરીન-દરિયાઈ પાઇલટ. જેને બંદરના દરેક વિસ્તારની જાણકારી હોય છે. ક્યાં વધારે છીછરો વિસ્તાર છે, ક્યાં ઊંડો વિસ્તાર છે, જમીન કેવી છે વગેરે વગેરે. એ બંદરના હવામાનની જાણકારી પણ મહિલા મરીન-પાઇલટને હોય છે. આ બધી કામગીરી કરવાની હોય છે. શીપ આવવાની માહિતી આવે એટલે હું, મારી બોટ લઈને શીપ પાસે જઉં છું. દરિયામાં જ્યાં ઊભું હોય ત્યાં, મારી બોટ ઊભી રાખી, દોરડાની સીડી વડે શીપ પર ચડું છું અને પછી શીપને, સલામત રીતે બંદર પર જઈ બોર્ડ (લંગર) કરું છું.
આ જ રીતે શીપ જ્યારે બંદર પરથી પાછું દરિયામાં જાય ત્યારે, શીપ પર જઈ, દરિયામાં તેના રસ્તે નેવીગેટ કરી, દોરડાની સીડી વડે ઉતરી બોટમાં પાછી ફરું છું. આ કામગીરી ઘણી અસલામત પણ હોય છે. અને જબરજસ્ત શારીરિક તાકાત માગી લે છે. પરિસ્થિતિ આબોહવાની, દરિયાના મોજાની રૂખ ત્યારે બદલાય આથી, માનસિક રીતે પણ મજબૂત રહેવું પડે છે.’
હાલમાં રેશ્મા નીલોફર કલકત્તાના હુગલી બંદરે પર કામ કરી રહી છે. એ પહેલા ઘણા બંદરો પર કામ કર્યું છે. હસતા હસતા રેશમા નીલોફર કહે છે, ‘મહિલા મરીન પાઇલટ તરીકે હવામાન ને શારીરિક મુશ્કેલીઓને તો પહોંચી વળાય છે. અરે, દરિયાના તોફાની મોજાને એક સમય પહોંચી વળાય, પરંતુ મહિલાઓ માટે ઓછી કાર્ય કરવાની કીમત આંકતા અને જાતીયભેદની માનસિકતા ધરાવતા પુરુષ કેપ્ટનોની માનસિકતાને પહોંચી વળવું મુશ્કેલ હોય છે. તેઓ મહિલા મરીન પાઇલટ તરીકે હોઈ શકે તે કલ્પી જ શકતા નથી.
આથી જ્યારે કોઈ પણ શીપ આવવાનું હોય ત્યારે ત્રણ પ્રકારના પુરુષ કેપ્ટનોનો અનુભવ થાય છે. પહેલો પ્રકાર, એક મહિલાને મરીન પાઇલટ તરીકે સ્વીકારવા જ તૈયાર નથી હોતા, આથી મને જોઈને પહેલા તો ના જ પાડે છે. પણ કોઈ અપવાદ ન મળતાં મદદ સ્વીકારે છે.
બીજા પ્રકારના પુરુષ કેપ્ટનો મોઢું મચકોડે છે. ખોટી દલીલો કરે છે, મારા કામમાં ખોડ કાઢવા પ્રયત્ન કરે છે અને છેલ્લે એટલું જ કહે છે, બધાને પતિની જેમ ગુલામ સમજતી હશે.’ ન છૂટકે મદદ સ્વીકારે છે.
ત્રીજા પ્રકારના પુરુષ કેપ્ટનો મારા કાર્યને, મહિલા મરીન પાઇલટ તરીકે મને સ્વીકારે છે અને મારી હિંમત, મારી શારીરિક તાકાત અને હોસલાને બીરદાવે છે. પરંતુ આ ટકાવારી ખૂબ જૂજ છે.’
તેના માતાના નાનપણના કહેલા શબ્દો તે હંમેશા આવા સમયે વાગોળે છે, ‘બેટા જેને જીવનમાં આગળ વધવું છે અને મહેનત કરવી છે તેને માટે ખુલ્લુ કાર્યનું આકાશ છે. જે આકાશમાં છોકરા કે છોકરીનો કોઈ ભેદ નથી. તેનું કાર્ય જ તેનો આગળનો પથ છે.’ અને મરીન પાઇલટ રેશ્મા નીલોફર તેના કાર્યપથ પર આગળ વધે છે.
-
સ્મૃતિસંપદા – અરવિંદ સી. થેકડી – અમદાવાદથી અમેરિકા [૨]
આ પહેલાં આપણે અરવિંદભાઈ થેકડી અમેરિકા પહોંચ્યા તેની પશ્ચાદભૂ સાથે પરિચિત થયા.હવે આગળયુનિવર્સિટીમાં
પેન સ્ટેટ યુનિવર્સિટી પેન્સિલવેનિયા રાજ્યની મઘ્યમાં, વર્ષના મોટા ભાગના સમયમાં બરફથી ઢંકાયેલા રહેતા પર્વતો વચ્ચે હેપી વેલી તરીકે ઓળખાતા પ્રદેશના સુંદર વાતાવરણવાળા સ્થાને છે. યુનિવર્સિટી પાર્ક તરીકે ઓળખાતા તેમના મુખ્ય કેમ્પસમાં ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ હતા- આઇ.આઇ.એસસી.માં મેં જોયેલી સંખ્યા કરતાં લગભગ ૧૦૦ ઘણા. તેનું કેમ્પસ પાંચ ચોરસ માઇલના વિસ્તારમાં ફેલાયેલું હતું. તેમાં ઘણાં જૂનાં અને નવાં મકાનો છૂટાંછવાયાં બંધાયેલાં હતાં. ભારતમાં ન સાંભળી હોય એવી ટેનિસ કોર્ટ, ફૂટબોલનું મેદાન, મોટું સ્ટેડિયમ વિગેરે જેવી સગવડો ઊભી કરાઇ હતી. મારા માટે બધું નવું હતું. દુઃખની વાત એ હતી કે એ સગવડોનો લાભ લેવાનો મારી પાસે સમય ન હતો. મારો મુખ્ય હેતુ પીએચ.ડી.ની પદવી મેળવવાનો અને મોટા ઉદ્યોગગૃહમાં કામ કરવાનો હતો. એટલે મોટા ભાગનો સમય જરૂરી કોર્સ લેવામાં અને ડિપાર્ટમેન્ટની પ્રયોગશાળામાં સંશોધન કરવામાં ગાળતો.
જે પ્રયોગશાળામાં મેં કામ કર્યું તેમાં અમેરિકાનાં વિવિધ રાજ્યોમાંથી અને દુનિયાના બીજા દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓ પણ હતા. મારા સંશોધનને એક ખાનગી નેચરલ ગેસ વેચતી કંપનીનો ટેકો હતો. કંપનીનો હેતુ એ જાણવાનો હતો કે પોલાદ, કાચ, એલ્યુમિનિયમ જેવા ઉદ્યોગોની મોટી ભઠ્ઠીઓમાં બળતણ તરીકે વાપરવામાં શું સસ્તું પડે-તેલ કે નેચરલ ગેસ. ભારતમાં ખાનગી કંપની યુનિવર્સિટીને સંશોધનમાં સહાય કરતી હોય એવું ઇન્સ્ટિટ્યુટમાં સાંભળ્યું ન હતું. કંપનીનો હેતુ બજારમાં પોતાનો ધંધો વધારવાનો અને મોટો નફો મેળવવાનો હતો. જો આ સંશોધન એમ પ્રતિપાદિત કરે કે નેચરલ ગેસ તેલની સરખામણીમાં વધારે ફાયદાકારક છે તો કંપનીનો હેતુ સિધ્ધ થાય. પણ આવાં પરિણામો મોટી સંખ્યાની ભઠ્ઠીઓમાં મળવાં જોઇએ અને એને વૈજ્ઞાનિક ગણત્રીથી પૂરવાર કરવું પડે. તે કામ કંબશન, હીટ ટ્રાન્સફર, ફ્લુઇડ ડાયનેમિક્સ, રિએક્શન કાયનેટિક્સ, મશીન ડિઝાઇન, સિમ્યુલેશન મોડેલિંગ અને તેને આનુશાંગિક કોમ્પ્યુટર પ્રોગ્રામિંગથી કરવું પડે. એ વખતે મેં કોમ્પ્યુટર વિષે વાંચેલું પણ જોયું ન હતું કે ન તેને વાપરતાં આવડતું હતું. આ કામમાં તો સંશોધનને પ્રોગ્રામના રૂપમાં રજૂ કરવું પડે અને મારે તો ઘણા થોડા સમયમાં ઘણું બધું શીખવું પડે. આ એક પડકાર હતો અને તક પણ. જો સફળતા મળે તો મારી આ ક્ષેત્રના નિષ્ણાત તરીકે ગણત્રી થાય અને અનેક મોટા ઉદ્યોગગૃહોમાં નોકરી મળવાની તકો પણ ઊભી થાય.
સંશોધન માટે ઉપકરણો બનાવવા માટે મારે વેલ્ડિંગ, પતરાનું કામ, ઈંટોનુ ચણતર અને જેનાં નામ ક્યારેય સાંભળ્યાં ન હતાં એવાં ટેસ્ટિંગનાં સાધનોની સ્થાપના એ બધું કરવાની જરૂર પડે. આ સગવડ ઊભી કર્યા પછી મારે ઘણા પ્રયોગો કરવા પડે, ડેટા ભેગો કરવો પડે અને તેનું પૃથક્કરણ કરી એ ડેટાનો સીમ્યુલેશન મોડેલીંગથી ભાખેલા થીયરેટિકલ આંકડા સાથે મેળ બેસાડવો પડે. એને માટે કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગનું જ્ઞાન જરૂરી હતું કેમકે જૂની પધ્ધતિની ગણતરીથી એ શક્ય ન હતું. મેં કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગના વર્ગ ભર્યા અને રાત્રે કૉમ્પ્યુટર પ્રોગ્રામિંગ શરૂ કર્યું. ડેસ્કટૉપ કે લૅપટૉપ કૉમ્પ્યુટરની કોઈએ કલ્પના કરી ન હતી. યુનિવર્સિટીમાં મોટા ઓરડામાં સમાય એવું એક મોટું આઇ.બી.એમ. મેઇનફ્રેઇમ કોમ્પ્યુટર હતું. તેમાં પંચ્ડકાર્ડનો ઉપયોગ થતો હતો. વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના સંચાલકો તેનો ઉપયોગ કરતા હતા. એ વખતે પ્રોગ્રામ લખવા ફોરટ્રાન લેંગવેજનો ઉપયોગ થતો હતો. પ્રોગ્રામ લખે, કોમ્પ્યુટર કેન્દ્રમાં જાય( મોટેભાગે રાત્રે ), કાર્ડ પંચ કરે, પ્રોગ્રામ ચલાવવા કાર્ડ આપે અને જાય. આ કાર્ડ હજારો નહિ તો સેંકડોની સંખ્યામાં “પ્રોગ્રામ ચલાવવા” વપરાય. બીજા દિવસે સવારે વિદ્યાર્થીઓ પાછા આવે અને પ્રોગ્રામ રન ન થયો હોય કારણ કે એકાદ થપ્પી કાર્ડ પંચ કરવામાં નાનકડી ભૂલ કરી હોય. એણે ભૂલ શોધવાની, ભૂલ સુધારવાની અને આશા રાખવાની કે બીજીવાર એવું નહિ થાય. પ્રોગ્રામ રન થયો હોય તોપણ તમે જે જોવા માગતા હતા એવું પરિણામ મળે એની ખાત્રી નહિ. આવું તો કેટલાય અઠવાડિયાં સુધી ચાલે. જે માણસે દિવસરાત સખત મહેનત ન કરી હોય એના માટે આ નવતર અનુભવ હતો. અને એ પણ શિયાળામાં કે જ્યારે કેટલાય ઈંચના જાડા બરફના થરમાં ચાલીને કોમ્પ્યુટર સેન્ટર પર જવાનું હોય અને તાપમાન થીજાવી દે એવું હોય. પણ મને ફાયદો એ થયો કે ઘ્ણા વિદ્યાર્થિઓને મળવાનું થયું, મિત્રો બનાવ્યા અને જુદા જુદા દેશો તથા અમેરિકાનાં રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે કામ કરવાની તક મળી. ખાસ તો બધા એકજ પ્રકારની સમસ્યાનો સામનો કરતા હતા. આ એવો અસામાન્ય અનુભવ હતો જે આજના વિદેશથી અમેરિકા આવતા વિદ્યાર્થીઓને ભાગ્યે જ થાય.
હજુ સુધી વાંચવાથી કે અમેરિકા જઇ આવેલા લોકો સાથે વાતચીત કરવાથી હું જે કંઈ જાણતો હતો તે પારકો અનુભવ હતો. પેન સ્ટેટનો અનુભવ સાવ જુદો પણ જાતઅનુભવ હતો અને તે પણ ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રની તથા બુધ્ધિજીવી વર્ગની અમેરિકન પ્રજાના સંસર્ગમાં આવવાથી થયેલો હતો. એટલું જ નહિ, અહીં બધા આર્થિક સ્તરના લોકોના વાસ્તવિક જીવનનું નિરીક્ષણ કર્યું અને અનુભવ લીધો. અહીં એવા વિદ્યાર્થી હતા જે ધનિક પરિવારમાંથી આવતા હતા, વિશાળ ઘરોમાં રહેતા હતા અને મોંઘી ગાડીઓ ધરાવતા હતા. તો બીજી બાજુ કેટલાય કોર્સ લેવાની સાથે બે છેડા મળવવા ભોજનાલય, સ્ટોર કે કેમ્પસમાં પાર્ટટાઇમ કામ કરવા ઝઝૂમતા વિદ્યાર્થી પણ હતા. મેં સમય કાઢી એમાંના કેટલાક જોડે વાત કરી અને આસપાસનાં રાજ્યો તથા મોટાં શહેરોની મુલાકાત લીધી. હું માની ન શક્યો કે થીજાવી દેતી ઠંડીમાં શેરીઓમાં રસ્તા પર જીવતા લોકો પણ હતા. એ સમજવું મુશ્કેલ હતું કે દુનિયાના સૌથી વધુ શ્રીમંત અને શક્તિશાળી દેશમાં આવું કેમ બની શકે. એ તો મોંઘાં સામયિકોમાં અને પ્રદર્શનોનાં વિશાળ પોસ્ટરોમાં બતાવેલું શ્રીમંત અમેરિકા હોવું જોઇતું હતું.
૧૯૬૦ના દશકાનો મધ્યભાગ અને તે પછીનો સમય અમેરિકા માટે ઝંઝાવાતી હતો. આ દેશ વિયેતનામમાં પૂરેપૂરો સંડોવાયેલો હતો અને પેન સ્ટેટ સહિત અનેક કોલેજોના કેમ્પસ પર યુધ્ધ સામેના દેખાવો રોજની વાત હતી. હિપ્પી ચળવળ પૂર જોશમાં હતી અને યુવાનોમાં એલ.એસ.ડી. જેવા નશાકારક ડ્રગનો ઉપયોગ સામાન્ય બાબત હતી. ચોથી એપ્રિલ, ૧૯૬૮ના રોજ માર્ટિન લ્યુથર કિંગની હત્યા સામે આખા અમેરિકામાં વિરોધ જાગ્યો. વોશિંગ્ટન ડીસી સહિત અનેક શહેરોમાં મોટા પાયા પર માલમિલ્કતને નુકશાન થયું અને દિવસો સુધી આખેઆખાં શહેરો બંધ રહ્યાં. આ ઓછું હોય તેમ સેનેટર કેનેડી( પ્રમુખ શ્રી જોન કેનેડીના અનુજ ) ની કેલિફોર્નિયાના ચૂંટમીપ્રચાર દરમિયાન છઠ્ઠી જુન,૧૯૬૮ના રોજ થયેલી હત્યાના સમાચાર આવ્યા. એની સામે પ્રતિભાવ પત્યો તો ઓગષ્ટ,૧૯૬૮ના અંતમાં શિકાગોમાં ડેમોક્રેટિક પાર્ટીના કન્વેન્શનમાં દેખાવો થયા. ટીવી પર આ બનાવો જોયા તો મારા અને ભારતીય વિદ્યાર્થીઓના માન્યામાં નહોતું આવતું. અમે આવા દેખાવો અને વિરોધ ભારતમાં જોયા હતા પણ વિનાશનું પ્રમાણ સમજની બહાર હતું.
૧૯૬૮ એ પ્રમુખની ચુંટણીનું વર્ષ હતું. વિયેટનામમાં જે બની રહ્યું હતું તે અને દેશમાં ફેલાયેલી અશાંતિ જોઈ તે વખતના પ્રમુખ જહોન્સને ફરીથી પ્રમુખપદની ચૂંટણી લડવાનું માંડી વાળ્યું. ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર રોબર્ટ કેનેડીની હત્યા થઈ હતી, જ્યારે ઉપપ્રમુખ હુબર્ટ હમ્ફ્રી બહુ નરમ રાજકારણી ગણાતા હતા. રિપબ્લિકન પક્ષના ઉમેદવાર રિચાર્ડ નિક્સન પ્રમુખપદ માટેના અગ્રેસર ઉમેદવાર તરીકે ઉભરી રહ્યા હતા
૧૯૬૮ના વર્ષ દરમિયાન રાજકારણ, રમતગમત, મનોરંજન ક્ષેત્ર( ફિલ્મો,સંગીત,નૃત્ય વિ. ), સામાજિક કાર્યો અનૈ એવાં બીજાં ઘણાં ક્ષેત્રોના નામાંકિત લોકોનાં પ્રવચનો અને સભાઓ પેન સ્ટેટના કેમ્પસમાં થયાં. હું કેમ્પસ પર યોજાતી ઘણી સભાઓ, મોરચા, રમતો., પ્રવચનો કે વર્કશોપમાં ગયો. ભારતમાં મોટું કેમ્પસ ધરાવતી આઇ.આઇ.એસસી. જેવી સંસ્થામાં પણ મેં આવું જોયું ન હતું. રિચાર્ડ નિક્સન( તેમના કાકા પેન સ્ટેટમાં પ્રોફેસર હતા ), નેલ્સન રોકફેલર, એડવર્ડ કેનેડી( જેને લોકો પ્રમુખ કેનેડીના બેબીભાઈ તરીકે ઓળખતા ), ડ્વાઈટ આઈઝન હોવર( એમનો ભાઈ પેન સ્ટેટનો પ્રમુખ હતો ) વિગેરેની સભામાં જવું એ યાદગાર પ્રસંગો હતા. પંડિત રવિશંકર એ વખતે અમેરિકામાં જાણીતા હતા. હું જ્યારે ત્યાં હતો ત્યારે તે પેન સ્ટેટની મુલાકાતે આવેલા. મને સ્પષ્ટ યાદ છે કે ભારતીય વિદ્યાર્થીઓ અને રહેવાસીઓ સાથેની તેમની સભામાં તેમની સાથે વાત કરવાનો મોકો મળેલો. મેં એ પણ જોયું કે દરેક વિષય માટે, પછી તે ટેક્નિકલ હોય, રાજકીય હોય કે સામાજિક, તેનું મંડળ કે સમાજ, સ્થાનિક શાખાઓ, નિયમિત સભાઓ, સમાચારપત્રો કે સામાયિકો, શો કે પ્રદર્શનો વિ. ત્યાં હતાં..
કેમ્પસમાં ઘણા વિદ્યાર્થીઓ પોતનો ઘણો સમય પેન સ્ટેટમાં સૌને ગમતી ફૂટબોલ, બેઝબોલ, બાસ્કેટબોલ કે આઈસસ્કેટિંગ જેવી રમતો રમવામાં કે જોવામાં ગાળતા હતા. પણ મારી પાસે આવી પ્રવૃત્તિ માટે સમય ન હતો. મને એ વાતનો રંજ છે કે આમાંના ઘણા રમતો સાથે સંકળાયેલા કાર્યક્રમોમાં ભાગ લેવાની કે રમતો શીખવાની તકોનો હું લાભ ન લઈ શક્યો. પણ વિદ્યાર્થીગણ સાથે રહેવાથી મને દુનિયાભરના વિદ્યાર્થીઓને મળવાનો મોકો મળ્યો. મોટાભાગના સામાન્ય વિદ્યાર્થી હતા અને થોડાક ડોક્ટરૈટ પછીના ફેલો કૈ શિક્ષકગણના સભ્ય. એક જ જગ્યાએ રહેવા છતાં દુનિયાના વિવિધ ભાગોમાં રહેતા હોઈએ એવો આ અનુભવ હતો. મારી પત્ની અને પુત્રી માટે તો લોકોની વિવિધતા જોવાનો, અલગ અલગ પ્રકારના ખોરાકનો સ્વાદ માણવાનો, ઘણા દેશોના ઉત્સવો ઉજવવાનો અને અલગ અલગ સંસ્કૃતિ વિષે જાણવાનો અવસર હતો. થયું એવું કે સ્નાતક વિદ્યાર્થીઓનાં ઘર પેન સ્ટેટ ફૂટબોલ સ્ટેડિયમની બાજુમાં હતાં એટલે અમે વિખ્યાત ફૂટબોલ કોચ જો પેટર્નોને અમારા ઘર પાસેથી પસાર થતા અને બાળકોને હલ્લો કહેતા અમે જોઈ શકતા હતા. મને લાગે છે કે ઉપાધિ મેળવવા માટે જ્યાં બધાની આર્થિક સ્થિતિ એક સરખી હોય એવા કેમ્પસના સ્નાતકઘરમાં રહેવાની તક લાખોમાં એક હતી.
એ વખતે અમેરિકાનું જીવન એવી ઘણી સુખસગવડો પૂરી પાડતું હતું જે આપણે ભારતમાં મોટા શહેરમાં રહેતા હોઈએ તો પણ ન વિચારી શકીએ કે ન આપણને પોસાય. અમેરિકામાં અમે એવા વાતાવરણમાં રહેતા હતા જ્યાં દરેક પાસે એક કે બે ગાડી, રોજની જરૂરિયાતની વસ્તુઓનો અમર્યાદિત પૂરવઠો, .ટેલિફોન સર્વિસ, ટીવી, વિશ્વાસપાત્ર ઈલેક્ટ્રિક પાવર, સ્વચ્છ પાણી, કચરારહિત શેરીઓ, ગરમાવેલાં ઘર અને દફતરો, પોસાય એવા મનોરંજન અને રમતગમતના કાર્યક્રમો, દેખીતી રીતે કેળવણી માટે અમર્યાદિત તકો વિગેરે હતાં.આ બધું મર્યદિત આવકવાળા વિદ્યાર્થીના પરિવારને પણ મળતું હતું.
છતાં પણ ભારતમાં ભોગવેલી ઘણી વસ્તઓ અહીં મળતી ન હતી. ઊંચી જાતના ચોખા, ઘઉંનો લોટ, દાળ, છૂટી ચા, રસોઈના મસાલા અને એનાથી પણ વિશેષ કેરી, ચીકુ, બોર વિ. જેવાં મનગમતાં ફળ જેવી ખાવાની વસ્તુઓ માટે અમે ભૂખ્યા હતા. અમારી જાણકારી પ્રમાણે ભારતથી આયાત કરેલી આમાંની કેટલીક ચીજો વેચનારા આખા અમેરિકામાં માત્ર બે સ્ટોર હતા, કલુસ્તાન અને ઈન્ડિયા-જાવા. તે ન્યુ યૉર્ક શહેરમાં હતા અને ત્યાં જવું સરળ ન હતું. મોટાં શહેરોમાં કરિયાણાના એ એન્ડ પી ( એટલાન્ટિક એન્ડ પેસિફિક ) નામના સ્ટોરની શૃંખલા હતી જ્યાં થોડાક ઉંચા ભાવે પણ થોડા પ્રમાણમાં સારી ચા, ચોખા વિ.. ક્યારેક મળી જાય. એટલે કંઇક નવું કરવાની આવડતવાળી ભારતીય ગૃહિણીઓ .કેટલીક સામગ્રી બદલીને મળતી સામગ્રી વાપરી “કહેવા પૂરતી” વાનગીઓ બનાવતી, જેવી કે મકાઈના લોટમાંથી હાંડવો, મકાઈ-ઘઉંના લોટમાંથી ઢોંસા, ચોખા સાથે કોઈ પણ દાળ મેળવી ખીચડી, ઘરમાંજ મેળવેલું દહીં અને એનો શ્રીખંડ, મીઠા વગરના માખણમાંથી ઘી, થીજેલા વટાણામાંથી સમોસા વિગેરે. પાપડ, ખાખરા, અથાણાં, છુંદો કે ગાંઠિયા, સેવ, ચકરી, ફાફડા જેવાં ફરસાણ મળવાનો તો સવાલ જ ન હતો. અમારામાંથી કોઈક છુપી રીતે ભારતથી શાકનાં બી લઈ આવ્યા અને ઘરની પાછળ વાવ્યાં. આ તો જે કંઈ મળે તેનો ઉપયોગ કરીને થોડીક કલ્પના અને થોડુંક સાહસ કરીને ભારતીય ભાણું બનાવવું પડે એવો સમય હતો. ઘણા પરિવારો જોઈતી રસોઈ બનાવવા માટેની સામગ્રી, તેજાના વિગેરેનાં પાર્સલ દરિયામાર્ગે પણ મંગાવતા. જોકે આવતાં બે મહિના કરતાં વધારૈ સમય લાગતો.
ભારતના સમાચાર મેળવવાનું લગભગ કોઈ સાધન ન હતું. માહિતી મેળવવાનું એક માત્ર સાધન ઈન્ડિયા ન્યુઝ હતું જે ભારતીય દૂતાવાસ પ્રગટ કરતું હતું અને જે માગે તેને મફત આપતું હતું. સ્વાભાવિક રીતે તેમાં એવા સમાચાર આવતા જે ભારત સરકાર ઈચ્છતી હોય કે દુનિયા જાણે. ક્યારેક રાષ્ટ્રીય ટીવી પર કે મોટા પ્રમાણમાં વંચાતાં ન્યુ યૉર્ક ટાઈમ્સ, વૉશિંગ્ટન પોસ્ટ, બૉસ્ટન ગ્લોબ, ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર વિ. જેવાં વર્તમાનપત્રોમાં ભારત વિષે સંવેદનશીલ વાતો વાંચવા કે જોવા મળે. પેન સ્ટેટના પુસ્તકાલયમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પોસ્ટમાં આવતું એટલે 10-15 દિવસ જૂના સમાચાર વાંચવાનું નસીબમાં હોય. તેમાં એક આશાનું કિરણ હતું ભારતીય દૂતાવાસ દ્વારા અપાતી ભારતીય ફિલ્મ. કેમ્પસનું સ્થાનિક ભારતીય વિદ્યાર્થી મંડળ દૂતાવાસનો સંપર્ક કરે એટલે તેઓ ફિલ્મની નકલ મોકલે જેને કેમ્પસના નાટ્યગૃહમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે બતાવવામાં આવતી. આજુબાજુનાં હેરિસબર્ગ જેવાં ઘણાં શહેરોમાં વસતા ભારતીયો પણ એ જોવા આવતા. સ્થાનિક ભારતીય નારીઓ ત્યાં મળતી સામગ્રીમાંથી કોઈક ફરસાણ બનાવીને ત્યાં વેચે એટલે આવો પ્રસંગ સામાજિક સમારંભ બની જાય.
ભારતમાં રહેતા પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે સસ્તામાં સસ્તું સાધન હતું હવાઈ પત્ર( એર મેઈલ ) જે દસ-પંદર દિવસે પહોંચે. ફોન કરવો હોય તો કૉલ બુક કર્યા પછી કલાકો રાહ જોવી પડે. કૉલ જોડાય તો પણ અવાજની ગુણવત્તા ખરાબ હોય. મોટા ભાગનો સમય “હલ્લો– હલ્લો” કરવામાં જાય. મને યાદ છે ત્યાં સુધી મિનિટના ૨-૩ ડોલર લાગતા હતા. તાકીદના સમાચાર મોંકલવા હોય તો વેસ્ટર્ન યુનિયન દ્વારા તાર મોકલવો પડે. પણ ૨-૪ લીટીના સંદેશા માટે કેટલાય ડોલર ખર્ચવા પડે. અમેરિકાની અંદર દૂરનો ફોન કરવો હોય તો પણ વિદ્યાર્થીને તે ન પોસાય એટલો મોંઘો હોય. તેનો ભાવ બે જગાઓ વચ્ચેના અંતર પ્રમાણે હોય અને એના માટે લાંબા અંતરની ખાસ લાઈન લેવી પડે જેના પૈસા અલગથી લાગે. ઘણાં શહેરોમાં ઘણાં ઘરોમા સંયુક્ત લાઈન હતી જેમાં એકજ લાઈન બે કે વધારે ફોનધારકો વાપરી શકે. એટલે ફોન કરવા માટે ફ્રી લાઈન મળવી જોઈએ. ઘણીવાર ફોન કરવા માટે રાહ જોવી પડે.
.ન્યુ યૉર્ક, બૉસ્ટન કે શિકાગો જેવાં શહેરો કે જ્યાં લોકલ ટ્રેઈન કે બસો મળતી હતી તેમને બાદ કરતાં શહેરોની અંદર પબ્લિક વાહનવ્યવહાર નહિવત્ હતો. મોટા ભાગનાં નગરોમાં ફરવા માટે તમારી પાસે ગાડી હોવી જોઈએ. અમેરિકા અને કેનેડામાં બે શહેરો વચ્ચેની અવરજવર મોટભાગે ગ્રેહાઉન્ડ બસ લાઈનથી થતી હતી. શહેરો વચ્ચે ટ્રેઈન ચાલતી હતી અને મોટા શહેરોને જોડતી લાંબા અંતરની ટ્રેઈનોમાં સ્લીપર કોચ તેમજ જમવાની સગવડવાળા ડબા રહેતા. અમુક પસંદગીનાં શહેરો વચ્ચે હવાઈયાત્રાની સગવડ હતી. પણ હવાઈયાત્રા ન પોસાય એટલી મોંઘી હતી. એનો ઉપયોગ જાહેર જનતા ભાગ્યેજ કરતી. ગાડીમાં સફર એક સામાન્ય બાબત હતી. ગાડીઓ પોસાય એવા ભાવમાં(૨,૫૦૦ થી ૫,૦૦૦ ડોલર ) મળતી હતી. પેટ્રોલ સસ્તું હતું( ગેલનના ૨૫ સેન્ટ ). ટૉલ આપવો પડે એવા રસ્તા ભાગ્યેજ દેખાતા હતા. પેટ્રોલ પંપ પર જાઓ તો કોઈક પેટ્રોલ ભરે, વિન્ડશિલ્ડ સાફ કરે, એન્જીનનું તેલ તપાસે( જો તમે ઈચ્છો તો ) અને વધારામાં ગ્લાસનો સેટ ભેટ આપે. તદુપરાંત “ગ્રીન સ્ટેમ્પ” આપે જેનો ઉપયોગ તમે સ્ટોરમાં ખરીદી કરવા કરી શકો. લેવડદેવડ માત્ર રોકડેથી થતી. જો તમે ડાઈનર્સ ક્લબ જેવી મોંઘી ક્લબના મેમ્બર ન હો તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નહિવત્ હતો.
એક વાહનવ્યવહારની રીત જે ઘણા પશ્ચિમના દેશોમાં લોકપ્રિય હતી પણ ભારતમાં કદી સાંભળી ન હતી તે હતી હીચ-હાઈકિંગ. વિદ્યાર્થીઓ ઉપરાંત ઘણ યુવાન લોકો, રસ્તાપર જતા અજાણ્યા લોકો જે અંગૂઠો ઉંચો કરીને કઈ તરફ જવું છે તેની સાઈન કરે તેને ગાડીમાં બેસાડે, તેમની પાસે રાઈડ લઈને મુસાફરી કરતા. ગાડી ચલાવનાર તેમને અનુકૂળ એવા વચલા સ્થળે ઉતારે જ્યાંથી રાઈડ લેનારના ગંતવ્ય સ્થળ તરફ જતું બીજું કોઈક તેમને પોતાની ગાડીમાં બેસાડે. આવી અનેક રાઈડ લઈને તે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે. અમને એ સાંભળીને નવાઈ લાગેલી કે ઘણા વિદ્યાર્થી આવી રીતે દેશના એક છેડેથી ( દા.ત. ન્યુ યૉર્ક) બીજા છેડે ( દા.ત. લૉસ એન્જેલ્સ ) મુસાફરી કરતા. ગાડી ચલાવનારને રાઈડ આપતાં જરા પણ હિચકિચાટ ન થતો અને વિદ્યાર્થી તેના પર વિશ્વાસ કરતો. ત્યાં ભય કે જોખમ ન હતાં, માત્ર માનવજાત પર વિશ્વાસ હતો. .યાદ રાખજો કે તે વખતે મોબાઈલ ફોન ન હતા. થોડાક પૈસા આપીને વાપરી શકાતા ફોન હતા. બનાવટ કરવાના બનાવ જવલ્લે જ બનતા. આજના જમનામાં એ માની શકાય એવું નથી.
મારું નસીબ સારું હતું કે હું જ્યારે અમેરિકા આવ્યો ત્યારે યુનિવર્સિટીએ આપેલી આસિસ્ટન્ટશીપની નિર્ધારીત આવકનું સાધન હતું અને પેનસ્ટેટમાં એક મિત્ર પણ હતો. ઘણા ભારત અને અન્ય દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓ પાસે મર્યાદિત પૈસા હતા તેમજ અહીં કોઈને ભાગ્યેજ ઓળખતા હતા. યુનિવર્સિટીનો આંતરરાષ્ટ્રીય છાત્ર વિભાગ વિદ્યાર્થીને સ્થાયી થવામાં થોડી મદદ કરે પણ આર્થિક સહાયતા ન મળે. વિદ્યાર્થીઓને ભારતથી આવતા પૈસા કે બીજી કોઇ આર્થિક સહાય પર આધાર રાખવો પડે. કેટલાકને કેમ્પસ પર જ કામ મળે અને એમાંથી થોડુંક કમાઇ લે. પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓ, ખાસ કરીને અન્ડરગ્રેજ્યએટ, એટલા નસીબદાર ન હતા. ઘણીવાર જે પોર્ટપર ( મુખ્યત્વે ન્યુ યૉર્ક શહેર ) ઉતર્યા હોય ત્યાંથી ગ્રેહાઉન્ડ બસ લઇ પ્રવાસ કરે અને પહેલી રાત એકથી વધારે શહેરોમાં વાયએમસીએમાં ગુજારે. ભાગ્યજોગે સ્થાનિક પ્રજામાંથી ભારતીય મૂળના રહેવાસીઓ તેમને મદદ કરતા. સ્થાનિક ફોનબુકમાંથી પટેલ, શાહ, રાવ, સિંઘ જેવી પોતાના જેવી અટકવાળાં નામ શોધી તેમની મદદની માગણી કરવી એ સ્વાભાવિક વાત હતી. મોટે ભાગે કોઇક માણસ તમને લેવા આવે, પોતાના ઘર કે એપાર્ટમેન્ટ પર લઇ જાય અને તમને સ્થાયી થવામાં મદદ કરે. તમે કોઇપણ ભરતીય વ્યક્તિને જુઓ તો તે કે તેણીં ઊભી રહેશે, પોતાની ઓળખાણ આપશે અને કોઇ મદદની જરૂર હોય તો પૂછશે.
ઘણા વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર પાર્ટ ટાઈમ કામ મળે. વિદ્યાર્થીને બસબૉય તરીકે કે રેસ્ટોરન્ટમાં ડીશ ધોવાનું કામ મળે એમાં શરમાવા જેવું ન હતું કારણ કે એ કામમાંથી તેને જોઈતા પૈસા મળતા હતા. મને લાગે છે કે એ વખતે કલાકના એકથી દોઢ ડોલર મળતા હતા. એનાથી પણ અગત્યની વાત એ હતી કે કામ કરતાં કરતાં બધા પ્રકારના લોકોને મળવાનું થાય, “અમેરિકન ઢબે” અંગ્રેજી બોલવાની આદત પડે, તે રહેતા હોય એ સમાજની માહિતી મળે અને કદાચ વધુ સારી નોકરી પણ મળે. ભારતમાં આવું નથી બનતું. આમ કરવાથી એમને પૈસાની કિંમત સમજાઈ અને જાણવા મળ્યું કે થોડા ડોલર કમાવા પણ કેટલું મુશ્કેલ છે. વિદ્યાર્થીઓને આવો જ પાઠ ઉનાળાની રજાઓમાં ખાસ કરીને કારકખાનાઓમાં કામ કરતાં શીખવા મળ્યો, જ્યાં એ વખતે એમને કલાકના પાંચ કરતાં વધારે ડોલર મળતા હતા. ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓને તેઓ ક્યાં રહે છે એ હિસાબે કામ કરવાની છૂટ હતી. તે પિટ્સબર્ગ, ક્લિવલેન્ડ, ડેટ્રોઈટ, બર્મિંગહામ, આટલાન્ટા, શિકાગો, હ્યુસ્ટન, એલ.એ. વિ. જેવાં ઔદ્યોગિક શહેરોમાં જતા અને નોકરી કરતા. ભારતીય વિદ્યાર્થીઓમાં પ્રવર્તમાન બડી સિસ્ટમ તેમને હંગામી નિવાસ મેળવવામાં અને આવવાજવામાં મદદરૂપ થતી. અગાઉ બતાવ્યું એમ નવા આવનારને સ્થાનિક ભારતીય રહેવાસી કે સાથી વિદ્યાર્થી કર્મચારીની મદદ મળે તે સામાન્ય બાબત હતી
એ વખતે જીવનનિર્વાહનો ખર્ચ સાધારણ કક્ષાનો હતો. સાથે મળીને રહેવાના ઘરના ભાડા સહિત ( ટ્યુશન ફી બાદ કરતાં ) વિદ્યાર્થીને મહિને કદાચ ૧૦૦ ડોલરની જરૂર પડે અને તે આરામદાયક વિદ્યાર્થીજીવન જીવી શકે. અમારો બે પુખ્ત વયની વ્યક્તિ અને એક બાળક ધરાવતો પરિવાર મહિને ૨૫૦ ડોલરના બજેટની અંદર જીવતો હતો જેમાં ભાડાના ૧૦૦ ડોલર વત્તા ઈલેક્ટ્રિક પાવર જેવી જરૂરિયાતો, ગાડીનો ખર્ચ, પાઠ્યપુસ્તકોનો ખર્ચ, બેબીની જરૂરિયાતની ચીજો અને થોડોક પ્રવાસનો ખર્ય આવી જાય.
યુનિવર્સિટીમાં હતો ત્યારે હું જીવનનાં બધાં ક્ષેત્રોના ઘણા અમેરિકનોને મળ્યો હતો. તે ખૂબ જ મદદગાર હતા. હું ઘણા દાખલા આપી શકું..થોડાક અહીં આપ્યા છે. જ્યારે અમેરિકન અને ભારતીય મિત્રોને ખબર પડી કે મંજુલા આવવાની છે અને અમારે ઘણી ઘરગથ્થુ ચીજો ખરીદવાની જરૂર પડશે ત્યારે.બધાએ અમને ફર્નિચર, ઉપકરણો, વાસણ, તાસકો અને હિના માટે પારણું લાવવામાં મદદ કરી.
આંતરરાષ્ટ્રીય છાત્ર સંઘ ગામ છોડીને જતા વિદ્યાર્થીઓ કે પ્રોફેસરો જે ચીજો છોડીને જતા હોય કે જે ચીજોની તેમને જરૂર ન હોય એવી ચીજોને ભેગી કરતો એટલે ઘણી બધી ચીજો છાત્ર સંઘમાંથી આવી. ઘણી ચીજો જાહેર જનતા કે સ્ટોરવાળાએ ભેટમાં આપેલા બૉક્સમાં હતી. અમારા પાડોશીઓએ મંજુલાને બાળકની સંભાળ લેતાં શીખવામાં મદદ કરી કારણ કે નવા દેશમાં એવી ઘણી બધી જરૂરિયાતો હતી જે ભારતમાં કદી સાંભળી ન હતી. જ્યારે પણ અમારે કંઈક મદદ કે માહિતી જોઈતી હોય ત્યારે સ્ટોરમાં, શેરીમાં કે બીજી જગાએ ઘણા લોકો પાસેથી મળી રહેતી. વધારાનો ચાર્જ લીધા વગર સ્ટોરવાળાએ કરિયાણું અમારા ઘરે પહોંચાડ્યું. સામાન પહોંચાડનાર કેટલાક છોકરાઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓ, અમારે બરફ કે વરસાદમાં ચાલવું ન પડે એટલે પોતાનું કામ મૂકીને પણ અમને સ્ટોરમાં જવા-આવવા માટે રાઈડ આપતા. રસદાયક વાત એ છે કે મોટા ભાગની ભારતીય મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ સાડી કે બીજો ભારતીય પોશાક પહેરતી એટલે ખબર પડી જાય કે તે ભારતીય છે. જો અમને સ્ટોરમાં કે બીજે જવા ચાલતા જુએ તો ગાડી ઊભી રાખે અને એમના રસ્તા પર ન આવતો હોય તો પણ સ્ટોર પર જવા રાઈડ આપે.
મારી પ્રયોગશાળામાં ટેક્સાસની અમેરિકન સાથી વિદ્યર્થીની શ્રીમતી મેરી લીન જોન્સન હતી. તે અને તેનો પતિ જિમ્મી જોન્સન બન્ને પીએચ.ડી.નાં વિદ્યાર્થી હતાં અને ગામમાં જ બે યુવાન બાળકો સાથે રહેતાં હતાં. 1968માં મંજુલા મારી સાથે રહેવા આવી પછી મૅરીએ અમને શિયાળાની મધ્યમાં કે જ્યારે રસ્તા પર કેટલાક ઈંચ જાડો બરફનો થર જામેલો હતો ત્યારે કરિયાણાસ્ટોર તરફ ચાલીને જતા જોયા. બીજે દિવસે જિમ્મીનો ફોન આવ્યો અને એણે કહ્યું કે શિયાળામાં સાઈડવૉક પર ચાલવું પણ જોખમકારક છે અને અમારે ગાડી ખરીદવી જોઈએ. મેં એને કહ્યું કે મને ગાડી ચલાવતાં નથી આવડતું કે નથી મારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ. વધુમાં ગાડી ખરીદવા માટે પૈસા નથી અને મને ખબર પણ નથી કે કઈ ગાડી ખરીદવી. એણે કહ્યું કે ચિંતા ન કર. બીજા અઠવાડિયે જિમ્મી અને મૅરી લીન અમારે ઘેર આવ્યા અને મર્ક્યુરી કોમેટ ગાડી અમારા ઘરની સામે ઊભી રાખી. જિમ્મીએ કહ્યું કે તેણે એક વપરાયેલી પણ સારી રીતે ચાલતી ગાડી અમારા માટે ખરીદી હતી અને જ્યાં સુધી પોસાય નહિ ત્યાં સુધી પૈસા પાછા આપવાની ચિંતા કરવાની નહિ. હું મારી પોતાની ગાડી હોય, અને એ પણ મોટી રકમ આપ્યા વિના એ વાત માની શક્યો નહિ કારણ કે ભારતમાં તો મોટા ભાગના લોકો માટે તે સ્વપ્ન હતું. મારી પાસે એનો આભાર માનવા માટે શબ્દો ન હતા. બીજે દિવસે બીજા પાડોશીએ મને ડ્રાઈવિંગના પાઠ આપવાના શરૂ કર્યું અને અમને લાઈસન્સ મેળવવામાં મદદ કરી. પછી જિમ્મીએ મને કહ્યં કે તેણે ગાડી ૧૨૫ ડોલરમાં ખરીદી હતી. મેં લગભગ છ મહિનામાં એના પૈસા પાછા આપ્યા.
અમે પેન સ્ટેટ અને પછી ટોલેડો, ઓહાયોમાં હતા એ દરમિયાન એ ગાડી ત્રણ વર્ષ વાપરી. એ વખતે ગાડીમાં બાંકડા જેવી સીટો હતી ( આજની ગાડીઓમાં હોય છે એવી પોચી સીટો નહિ ) અને એ પણ બેલ્ટ વગરની. વિન્ડશિલ્ડ જ્યારે ચાલતાં હોય ત્યારે એક જ ગતિથી ચાલે. પાવર સ્ટિયરીંગ ન હતું. બેબીસીટને બાંધી રાખવા માટે સગવડ ન હતી. એન્જીન ઓઈલનું સ્તર અને ટાયરમાં હવાનું દબાણ જ્યારે પેટ્રોલની ટાંકી ભરાવીએ ત્યારે ચેક કરાવવાનું. ૨૫,૦૦૦ માઈલ ચલાવ્યા પછી ગાડીનો સ્પાર્ક પ્લગ બદલવો પડે અને ગાડીને ટ્યુન અપ કરાવવી પડે. શિયાળો આવે એટલે ઉનાળનાં ટાયર બદલીને બરફ માટેનાં ટાયર લગાવવાં પડે. જેમ જેમ જરૂર પડી તેમ તેમ આ બધું અમે જાતે કરતાં શીખ્યા. ઘણીવાર ગાડી રસ્તા વચ્ચે બંધ પડી જાય, ખાસ કરીને શિયાળામાં જ્યરે રસ્તા બરફથી ઢંકાઈ ગયા હોય. પણ બીજા વાહનચાલકો ગાડીને ચાલુ કરવા ધક્કો મારતાં ખંચકાય નહિ. જાતે પેટ્રોલ ભરી શકાય એવા પેટ્રોલપંપ ન હતા એટલે ત્યાંનો માણસ ટાંકી ભરી આપે અને અગાઉ જણાવેલ સેવા પણ આપે. એ વખતના બહુ જાણીતા સ્ટોર હતા સીઅર્સ અને રોબક તથા “ડાઈમ સ્ટોર” કહેવાતા ક્રેસ્ગી અને વુલવર્થ. આવા સ્ટોરોમાં ખરીદી કરવી એ પણ અનોખો અનુભવ હતો.
નાતાલ, થેંક્સગિવિંગ, સ્વતંત્રતાદિન વિ. જેવી રજાઓમાં મિત્રો, સાથી વિદ્યાર્થીઓનાં માતાપિતા, પ્રોફેસરો વિ. પોતાને ઘેર અથવા બહારની પાર્ટી કે પિક્નિકમાં બોલાવે. અમને નાતાલ વખતે સ્થાનિક દેવળમાં ચર્યસર્વિસ કે મધ્યરાત્રિના માસમાં હાજરી આપવા બોલાવે. ખ્રિસ્તી ધર્મ વિષે જાણવાનો આ એક અનોખો અનુભવ હતો. એક નોંધઃ અમારું ધર્મપરિવર્તન કરાવવા માટેની મનિષા કે દબાણ કરવાનું ધ્યેય ન હતું. તેઓ મોટે ભાગે હિંદુધર્મ વિષે વધુ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરતા અને હિંદુધર્મના રીતરીતરિવાજોનો આદર કરતા. આવા મિલનસમારંભ લોકોને મળવાનાં અને અમેરિકાના સામાન્ય રહેવાસીનું જીવન તેમજ અમેરિકન સમાજ વિષે ઘણું બધું જાણવા માટેનાં સરસ સ્થળ હતાં. યુનિવર્સિટી સ્ટાફ ( પ્રોફેસરો, મંત્રીઓ, વિદ્યાર્થીઓ અને કેમ્પસના સેવકો )ની આતિથ્યભાવના અને ઉદારતાના આ થોડાક દાખલા છે.
મેં માર્ચ, ૧૯૭૦માં પીએચ.ડી.ની પદવી માટેની જરૂરિયાતો પૂરી કરી અને ટોલેડો,ઓહાયોમાં મિડલેન્ડ રોસ કોર્પોરેશનના સરફેસ કમ્બશન વિભાગમાં કામ કરવા માટે જવા નીકળ્યો.
ક્રમશઃ
-
વાગાસા : પારંપરિક જાપાની છત્રી
માહિતી જંક્શન
વિશાખા મોઠિયા

ઊગતા સૂર્યના દેશ તરીકે ઓળખાતો ટચૂકડો દેશ જાપાન સમગ્ર વિશ્વમાં તેની એડવાન્સ ટેક્નોલોજી તેમજ ત્યાંના ટ્રેડિશનથી પ્રખ્યાત છે. જાપાન જેટલું આધુનિક છે એટલું પારંપરિક પણ છે. લોકોની જીવનશૈલીમાં સ્વદેશીપણું, આધુનિકતા તેમજ પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. આ લેખમાં આપણે જાપાનની એક એવી પારંપરિક વસ્તુ વિશે જાણીશું જે ત્યાંનું સ્ટાઇલ આઇકોન પણ છે એટલે કે એને ફેશન એક્સેસરિઝ તરીકે ઉપયોગમાં લે છે. તો ચાલો જાણીએ – જાપાનની પારંપરિક છત્રી તેમજ બીજું સ્ટાઇલ આઇકોન એવી વાગાસા વિશે, સાથે જાણીશું એનો ઇતિહાસ, પ્રકાર, બનાવવાની પ્રક્રિયા તેમજ વિશેષ બાબતો વિશે.
જાપાની ભાષામાં છત્રીને કાસા ~ kasa કહેવામાં આવે છે. છત્રી બે પ્રકારની જોવા મળે છે : એક તો ફોલ્ડિંગવાળી જે આપણે લોકો વાપરીએ છીએ એ અને બીજી ફોલ્ડિંગ વગરની જેને બંધ ન કરી શકાય, રાજાશાહી પ્રકારની. વાગાસા- wagasa એ જાપાનની પારંપરિક છત્રી છે. આની સિવાય બીજી ઘણી છત્રીઓ જોવા મળે છે જેમ કે – જનોમેગાસા, બંગાસા, હિગાસા, ડાન્સિંગ વગેરે. અહીં તડકા – વરસાદની તેમજ નૃત્ય – નાટક અને ધાર્મિક ઉત્સવ માટેની છત્રીઓ અલગ અલગ જોવા મળે છે. આ બધામાં વાગાસા એ મુખ્યરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. વાગાસા સહિતની દરેક છત્રીઓ સ્વદેશી સ્ટાઇલથી બનાવવામાં આવે છે. વાગાસા બનાવવા માટે ત્યાંનું પ્રખ્યાત કાપડ વાશી ~ washi, ફ્રેમીંગ માટે વાંસની સળીઓ, કુદરતી રંગો, ઔષધીય તેલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. છત્રીની સાઈઝ તેની પર ફીટ કરવામાં આવેલી ribs – સળીઓની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવે છે. વાગાસા છત્રી અનુક્રમે – 36, 40, 44, 46, 48, 54 વગેરેની સાઈઝમાં જોવા મળે છે. વાગાસા છત્રી ત્યાંના સામાજિક ઉત્સવ, ધાર્મિક ઉત્સવ અને વિધિઓ તેમજ લગ્ન વખતે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત ત્યાંના પારંપરિક નૃત્ય – નાટકોમાં પણ નાયિકા દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.
ઉત્પત્તિ
છત્રીનો કોન્સેપ્ટ કંઇ નવો તો નથી જ. પૌરાણિક કથાઓના પાત્રોમાં રાજાની એન્ટ્રી વખતે તેની પાછળ એક માણસ મોટી છત્રી લઈને ઊભો હોય છે. રાજા જ્યાં જાય ત્યાં એને જવાનું હોય છે. ભગવાનના ફોટા જોઈએ તો તેની ઉપર પણ સોનાના છત્રો કે છત્તર જોવા મળે છે. પરંતુ કહેવાય છે કે ‘જેવો દેશ એવો વેશ’ – એની જેમ દરેક દેશોમાં છત્રીઓ પણ ત્યાંની સંસ્કૃતિ અને વાતાવરણને અનુરૂપ જોવા મળે છે. ભલે કોઈ પણ દેશનો પૌરાણિક કે રાજાશાહી ઇતિહાસ હોય, છત્રીનું કામ માત્ર એક જ રહ્યું છે – તાપ તેમજ વરસાદથી રક્ષણ આપવાનું ~ છાંયડો આપવાનું.

આપણે અહીં જાપાનની છત્રીની વાત કરી રહ્યા છીએ. જાપાનમાં વાગાસા છત્રી બૌદ્ધ ધર્મના મારફતે આવી; છઠ્ઠી સદી આસપાસ. બુદ્ધ ભગવાનની મૂર્તિ પર છત્તર જોવા મળતું જેને કીનુગાસા ~ kinugasa કહેવામાં આવે છે. તે દેખાવમાં સપાટ ગોળ રહેતી. અહીંથી જાપાની છત્રીની શરૂઆત થાય છે. નવમી – દસમી સદીથી રાજા – મહારાજાઓ પણ દરબારમાં પ્રવેશ વખતે તેમજ નગરચર્યા વખતે આ છત્રીનો ઉપયોગ કરવા માંડ્યા. આ ઉપરાંત ગુરુ કે વિદ્વાન પણ આ પ્રકારની છત્રીનો ઉપયોગ કરતા. આ સમયગાળામાં છત્રી એ શાહી પ્રતીક મનાતી. છત્રી ઉપયોગ કરવાનું ચલણ હજુ સુધી સામાન્ય જનતા સુધી નહોતું પહોંચ્યું. આ રાજાશાહી છત્રી ફોલ્ડિંગ વગરની આવતી. તે દેખાવમાં ખૂબ જ મોટી અને તેની ઉપર જાતભાતના ચિત્રો દોરેલાં હોય છે. જાપાનના પ્રાચીન ચિત્રોમાં આવા દ્રશ્યો જોવા મળે છે. જેમાં રાજાની પાછળ એક માણસ આ વિશાળ છત્રી પકડીને ઊભો હોય.
સોળમી – સતરમી સદી આસપાસ, સામાન્ય પ્રજાઓમાં વાગાસા છત્રીનો ઉપયોગ શરૂ થયો. વાગાસા સંપૂર્ણ રીતે સ્વદેશી રીતથી બનાવવામાં આવતી. વાશી કાપડ, વાંસની સળીઓ, ઔષધીય તેલ, રંગબેરંગી દોરાઓ વગેરેનો ઉપયોગ કરીને જેમાં તડકા અને વરસાદની છત્રીઓ અલગ રહેતી. વરસાદની છત્રીને વોટરપ્રૂફ બનાવવા કાપડ પર તેલ લગાવવામાં આવે છે. સોળમી સદીથી લઈને આજ પર્યંત જાપાનમાં વાગાસા છત્રીઓ પારંપરિક રીતે બનાવવામાં આવે છે. વાગાસા ઉત્પાદનમાં જાપાનનું ક્યોટો, ગીફુ શહેર મોખરે આવે છે.
છત્રીનું ઉત્પાદન
૧) ક્યોટો : જાપાનના ક્યોટો શહેર સ્થિત ત્સુજિકરા – tsujikara નામની વ્યવસાયિક પેઢી છેલ્લા ૩૧૬ વર્ષથી વાગાસા છત્રી બનાવી રહી છે; જેની સ્થાપના સન – ૧૬૯૦માં થઇ હતી, જે આજ પર્યંત કાર્યરત છે. ત્સુજિકરા પરિવાર સંપૂર્ણ રીતે સ્વદેશી રીતથી વાગાસા બનાવે છે. પહેલાં એક વાગાસા બનાવવાની પ્રક્રિયા કેટલાય કારીગરો મારફતે પસાર થતી. વાગાસા બનાવવાના કાર્યો કારીગરો વચ્ચે વિભાજિત થયેલ હતા. અત્યારે એક જ કારીગર થકી આખે આખી વાગાસા બની જાય છે. હાલમાં ત્સુજિકરામાં સાતેક જેટલા કારીગરો છે જે જૂની પદ્ધતિથી વાગાસા બનાવે છે. વાગાસા માટે આ લોકોનો એક જ ધ્યેય રહે છે : ખોલો તો છત્રી અને બંધ કરો તો વાંસની લાકડી ~ Open it and it is an umbrella ; close it and it is a bamboo cane.
૨) ગીફુ : વાગાસાના મોટા પાયે ઉત્પાદનમાં જાપાન પછી ગીફુ શહેરનો નંબર આવે છે. ગીફુમાં વાગાસાનું ઉત્પાદન સામુરાઈ લોકોના સમયથી શરૂ થયું હતું. કામાકુરા – kamakura કાળ દરમિયાન ગીફુમાં આવેલ કાનો – kano વિસ્તાર જ્યારે નાગાઈ નોનોબુ – nagai naonobu ના તાબા હેઠળ આવ્યું ત્યારે તેમણે વાગાસા છત્રીનું ઉત્પાદન શરૂ કરાવ્યું હતું. તેમણે નીચલા સ્તરના સામુરાઈ સિપાહીઓને પોતાના રોજબરોજની જીવન જરૂરિયાતના ખર્ચા કાઢવા માટે વાગાસા બનાવવાના કામ માટે પ્રોત્સાહિત કર્યા. કાનો – kanoમાં પૂરતા પ્રમાણમાં વાશી કાપડ, ઔષધીય તેલ, વાંસની સળીઓ, ગુંદર વગેરે ઉપલબ્ધ હતું. અને ત્યાં બાજુમાં જ nagara – નગારા નદી હતી (હાલમાં પણ છે) એટલે ત્યાંથી માલ પરિવહન માટેની વ્યવસ્થા પણ આસાનીથી થઈ શકે એમ હતી. વાગાસા બનાવવાનું કામ ધીમે ધીમે ત્યાંનું સ્થાનિક વ્યવસાયિક કામ બની ગયું. બીજા વિશ્વયુદ્ધ પછી તેની માંગમાં ભારે ઉછાળ આવ્યો હતો. દર વર્ષે આશરે ૧ કરોડ જેટલી વાગાસા છત્રીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આજે પણ ગીફુના વિવિધ વિસ્તારોમાં વાગાસાની દુકાનો જોવા મળે છે.
૩) કાનાઝાવા : કાનાઝાવામાં બનતી વાગાસા અન્ય શહેરોમાં બનતી વાગાસા કરતા થોડીક અલગ હોય છે. અહીં ભારે માત્રામાં વરસાદ તેમજ બરફવર્ષા થતી હોવાથી, કાનાઝાવાની વાગાસા જાડા ~ મજબૂત કાપડવાળી હોય છે. કાનાઝાવાની વાગાસા છત્રીમાં કાસાગામી ~ kasagami નામક કાપડનો ઉપયોગ કરવામાં આવે છે, જે વાશી કાપડ કરતા મજબૂત હોય છે અને તે ભારે બરફવર્ષા તેમજ વરસાદને પણ ઝીલી લે છે. એક એવો સમય હતો જ્યારે કાનાઝાવામાં સો કરતાં પણ વધારે સંખ્યામાં વાગાસા છત્રીની દુકાનો હતી; જેમાંથી અત્યારે માત્ર એક જ બચી છે જેની સ્થાપના સન્ – ૧૮૯૬ માં થઇ હતી. સન્ – ૧૮૯૬થી કાર્યરત ‘મત્સુદા વાગાસા’ દુકાન અત્યારે તેની ત્રીજી પેઢી દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં ત્રણ કારીગરો દ્વારા પારંપરિક રીતે વાગાસા બનાવવાના આવે છે. કાનાઝાવાની વાગાસામાં છત્રીની અંદર રંગબેરંગી દોરાઓથી ઝીગઝાગ પેટર્ન બનાવવામાં આવે છે.
વિશેષ બાબતો
– બંગાસા અને જનોમેગાસા એ વરસાદ માટેની છત્રીઓ છે, જ્યારે હિગાસા – higasa એ તડકા માટેની છત્રી હોય છે. લગ્ન પ્રસંગ – તહેવાર, નૃત્ય – નાટક તેમજ ગૃહ – સુશોભન માટેની વાગાસા અલગ આવે છે.
– જનોમેગાસા એ સાંપની આંખો જેવા આકારની હોવાથી, તેને snake eye umbrella પણ કહેવામાં આવે છે.
– જાપાની છત્રી ત્યાંના જાહેર ઉત્સવોમાં ઉપયોગમાં લેવામાં આવે છે જેમ કે – ટી સેરેમની, યસુરાઈ મત્સુરી, નાગાસાકી કુંચી ફેસ્ટિવલ, દોંટાકુ ફેસ્ટિવલ, ગિઓન ફેસ્ટિવલ વગેરેમાં. આ ઉત્સવોમાં ૧૦૦ કિલો વજન આસપાસની ડેકોરેટેડ વાગાસા ઉપયોગમાં લેવામાં આવે છે.
– વાગાસા છત્રી જાપાનના પારંપરિક નૃત્યશૈલીઓમાનાં એની નિહોન બુયોમાં નૃત્યકાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. કીમોનો પરિધાનમાં નૃત્યકાર જ્યારે હાથમાં વાગાસા લઈને સ્ટેજ પર એન્ટ્રી કરે છે ત્યારે નૃત્યને ચાર ચાંદ લાગી જાય છે. આ ઉપરાંત ત્યાંના નાટકોમાં પણ અમુક સીનમાં કલાકાર દ્વારા વાગાસાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે – લડાઈનો સીન હોય ત્યારે વાગાસાનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
– સમગ્ર જાપાનમાં વાગાસાના સ્પેશિયાલિટી સ્ટોર ~ શો – રૂમ જોવા મળશે.
– જાપાનમાં સૌથી વધારે છત્રી ચોરાઈ જવાનો ડર રહે છે. છત્રી સિવાયની કોઈ પણ વસ્તુ ત્યાં ચોરાતી નથી.
– જાપાનમાં દરેક લોકોના ઘરે ઓછામાં ઓછી ત્રણ છત્રીઓ જોવા મળે છે. લોકો બહાર જાય ત્યારે છત્રી સાથે જ લઈ જાય છે.
– આપણે અહીં જેમ સોનાના ઘરેણા સાચવવાના લોકર્સ હોય છે તેમ અહીં જાપાનમાં વાગાસા છત્રી સાચવવાના લોકર્સ હોય છે.
– અત્યારે વાગાસાનો હોમ ડેકોર આઇટમ તરીકે પણ ઉપયોગ થાય છે.
તો આ વાત હતી, જાપાનની પારંપરિક છત્રી એવી વાગાસાની. એક એવી છત્રી જે જાપાનની પરંપરાનો એક અભિન્ન હિસ્સો છે. જેમાં તમને સ્ટાઇલ, કંફર્ટ, આર્ટ, ટ્રેડીશન બધું જ જોવા મળે છે.
સુશ્રી વિશાખા મોઠિયાનો સંપર્ક vishakhawriter@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
વિચરતા અને વિમુક્ત સમુદાયો હજુ ય બરાબરીના હકની પ્રતીક્ષામાં છે
નિસબત
ચંદુ મહેરિયા
ગુજરાત સરકારની વિકસતી જાતિ કલ્યાણ નિયામકની કચેરીએ તા.૧૨.૦૮.૨૦૨૬ના પરિપત્રથી જિલ્લા કચેરીઓને ૩૧મી ઓગસ્ટે વિમુક્ત દિવસની ઉજવણી કરવા જણાવ્યું હતું. ભારત ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થયો ત્યારે તો વિચરતા સમુદાયો પણ આઝાદ થયા હતા. પરંતુ તેમને ખરી આઝાદી તો પછીના પાંચ વરસ અને સોળ દિવસે મળી હતી. અંગ્રેજોએ તેમના શિરે જે ગુનેગાર જાતિ(ક્રિમિનલ ટ્રાઈબ્સ)નું લેબલ માર્યું હતું, તેને સ્વતંત્ર ભારતની સરકારે ૩૧મી ઓગસ્ટ ૧૯૫૨ના રોજ નાબૂદ કર્યું. જે સમુદાયો ગુનેગાર ટ્રાઈબ્સ તરીકે નોટીફાઈડ હતા તે ડિનોટીફાઈડ થયા. એટલે ૩૧મી ઓગસ્ટનો દિવસ આ સમુદાયો વિમુક્ત દિવસ કે આઝાદી દિવસ તરીકે મનાવે છે. આ વરસે તો તેમનો વિમુક્ત દિવસ પોણી સદીએ પહોંચી ચૂક્યો છે અને હવે સરકારી ઉજવણીનો પણ લાભાર્થી બન્યો છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી ભારતમાં બ્રિટિશ રાજનો અતિ કઠોર, ક્રૂર, અમાનવીય અને ભારે નિંદાપાત્ર કાયદો જો કોઈ હોય તો તે ૧૮૭૧નો ક્રિમિનલ ટ્રાઈબ્સ એકટ હતો. ૧૮૫૭ના પહેલા સ્વતંત્રતા સંગ્રામ વખતે જે કેટલાક સમુદાયો વિદેશી સરકાર સામે લડ્યા હતા અને પછી બિટિશ સત્તાના કાબૂ બહાર હતા તેમને તેણે ગુનેગાર, અપરાધી, ચોર, લૂંટારા ઘોષિત કરી દીધા હતા. વણઝારા, છારા, કાલબેલિયા, મદારી, નટ, બાફણ, ડફેર, ગાડરિયા અને એવી બીજી ૧૯૩ જાતિઓને ૧૯૫૨માં મુક્તિ મળી હતી. અંગ્રેજ સરકારે આ સમુદાયોને ગુલામીનો કઠોર અહેસાસ કરાવ્યો હતો. આરંભે તો તેમના માથે ગુનેગારનો ધાતુને ગરમ કરીને સિક્કો મારવામાં આવતો હતો.તેમનું જુદું રજિસ્ટર રખાતું અને રોજેરોજ પોલીસ થાણે હાજરી પૂરાવવી પડતી હતી. ચોક્કસ વિસ્તારોની બહાર તેમના હરવાફરવા પર પાબંદી હતી. તેમની ગમે ત્યારે ધરપકડો થતી હતી. તેમની તમામ પ્રકારની સ્વતંત્રતા છીનવી લેવાઈ હતી. તેમને ગુનો પુરવાર કર્યા વિના કે કોર્ટમાં કેસ ચલાવ્યા વિના અપરાધી માની સજા કરવામાં આવતી હતી. અંગ્રેજ પોલીસ જ નહીં પછી તો લોકો પણ તેમને શંકાની દ્રષ્ટિએ જોતા હતા.
વિચરતા સમુદાયો મોટેભાગે પશુપાલક અને કલાને વરેલા હતા. તેમનો કોઈ સ્થાયી વસવાટ નહોતો..તેઓ સતતા વિચરણ કરતા રહેતા હતા. અંગ્રેજોએ તેમના કપાળે કાયમી બહિષ્કરણ અને ગુના કે હિંસાનું કલંક થોપી દીધું હતુ. સંસ્કૃતિ અને ઈતિહાસનો તો તેઓ ગૌરવશાળી હિસ્સો હતા જ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પણ તેમનું મોટું યોગદાન હતું.. પરંપરા, સંઘર્ષ અને જીવનશૈલી આ ગુનેગાર ગણાતા સમુદાયોની ભારતીય સમાજની વિશેષ ઓળખ હતી. જો કે તેમને સંશય નજર હેઠળ અને ગામ કે મુખ્ય વસ્તી બહાર રહેવું પડતું હ

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી તને બદલે શંકાની નજર કાયમ તેમનો પીછો કરતી હતી. તેમને રંજાડવાની પોલીસને બહુ બધી સત્તાઓ મળી હતી. જો તેઓ નક્કી કરેલી સીમાની બહાર અવરજવર કરતા પકડાય તો ત્રણ વરસના કઠોર કારાવાસની સજા મળતી હતી. તેમના માટે દેશભરમાં સ્પેશ્યલ રિફોર્મ કેમ્પને નામે અલગ વસાહતો બનાવવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના કાનપુર નજીક ૧૫૯ એકરમાં આવી અલગ વસાહત હતી. વરસો સુધી તેમને ઘરોમાં કેદ કરી રાખ્યા હતા. ૧૯૧૧માં અંગ્રેજ સત્તાએ ૧૮૭૧ના અધિનિયમમાં સુધારો કરીને ૧૨ વરસ સુધીની ઉમરના બાળકોનો પણ અપરાધીની યાદીમાં સમાવેશ કર્યો હતો. તે રીતે આ સમુદાયો જન્મજાત ગુનેગારની યાદીમાં આવી ગયા હતા.
આઝાદ ભારતમાં વિચરતા અને વિમુક્ત સમુદાયોના ઉત્થાન માટેના સરકારી પ્રયાસોનો દેખાડો ખૂબ થાય છે. અત્યાર સુધી તેમના વિકાસ વિશે વિચારવા ભારત સરકારે જ નવ કમિશનોની રચના કરી હતી. તેમાં રેણુકે અને રોહિણી આયોગની ભલામણો મહત્વની છે. કાયમી બહિષ્કરણનો વરસો સુધી ભોગ બનેલા અને સતત વિચરણ કરતા આ સમુદાયોને કાયમી વસવાટ આપવો અને નવા કૌશલ્યો સાથે તેમના રોજગારની વ્યવસ્થા કરવી તે સૌથી મોટો પડકાર છે. વિચરતા અને વિમુક્ત સમુદાયો ૧૯૪૭માં ૧૯૩ હતા આજે તે વધીને ૬૬૬ થયા છે. આખા દેશમાં તેમની વસ્તી લગભગ ૧૫ કરોડ હોવાનો અંદાજ છે. આટલો મોટો વસ્તી સમૂહ સાવ સ્વમાનહીન જીવન જીવતો હોય તે મોટો પડકાર છે.
ગુનેગારના લેબલમાંથી મુક્ત થઈને દેશના બીજા સામાન્ય નાગરિકોની જેમ સમાન નાગરિક તરીકે તેમનું સ્થાન હજુ દોહ્યલું છે. એટલે ઓળખનું સંકટ ભારે છે. તેમના પ્રત્યેના સામાજિક પૂર્વગ્રહો અને માનસિકતા અઝાદીના આટલા વરસો પછી ખાસ બદલાયા નથી. D N T s, Nomadics અને Semi Nomedics ટ્રાઈબ્સ કથિત મુખ્યધારાના સમાજથી કપાયેલા કે બહિષ્કારનો ભોગ બનેલા હોઈ તેમને શિક્ષણ અને આરોગ્યની પાયાની સગવડો મળતી નથી. શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું છે અને વૈજ્ઞાનિક સમજનો અભાવ છે. રોજગારનું સંકટ તેમના લમણે કાયમી લખાયેલું છે. વર્તમાનમાં તેમને સામાજિક સન્માનને બદલે પૂર્વગ્રહો આધારિત માનસિકતા સહેવી પડે છે. આપણી આસપાસનો સમાજ આ જાતિઓ કે સમુદાયો માટે કેવી હીણી માનસિકતા ધરાવે છે તે વિચારવા જેવી બાબત છે.
દર વરસે ૩૧મી ઓગસ્ટ આવે છે અને જાય છે. વિમુક્ત સમુદાયો તેને ખરી આઝાદીના દિવસ તરીકે મનાવે છે. તેનું આગવું મહત્વ પણ છે જ. પરંતુ ખરેખર તો તેમનો વિમુક્ત દિવસ ભારતીય બંધુ-ભગિનીઓના પૂર્વગ્રહો અને માનસિકતામાં બદલાવમાંથી મુક્તિનો દિવસ બનવો જોઈએ.વંચિત અને ઉપેક્ષિત એવો વિમુક્ત સમુદાય બરાબરીનો હક અને શિક્ષણ તથા રોજગારની તક માંગે છે.૧૯૫૨માં તેમને વિમુક્ત કર્યે તો સાડા સાત દાયકા થવા આવ્યા છે છતાં તેમની પીડાનો હજુ અંત આવ્યો નથી. સ્વતંત્રતા, સમાનતા અને ગરિમાપૂર્ણ જીવનની તેમને હજુ પણ પ્રતીક્ષા છે.
વિચરતા અને વિમુક્ત સમુદાયોના પરંપરાગત ધંધા-રોજગાર માટે અને નવા આધુનિક કૌશલ્યો માટે તેમને તાલીમ અને આર્થિક સુવિધાઓ આપવાની જરૂર છે. તેમનું વિચરણનું જીવન તેમના બાળકોના ભવિષ્ય પર માઠી અસર કરે છે. એટલે તેમનો સ્થાયી વસવાટ પણ વિચારવાનો અને અમલમાં મુકવાનો મુદ્દો છે. આ સમુદાયો વિવિધ સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવે છે એટલે તે એકરૂપ સમુદાય નથી.તેથી તેમની એકતા અઘરી છે. તેમની આર્થિક કઠણાઈઓ બેન્કો અને બીજી નાણાકીય સંસ્થાઓની સહાયથી ઉકલે, કાયમી વસવાટ અને જીવન યોગ્ય દરમાયો મળે તેવો રોજગાર આપી શકાય અને સ્વમાનથી જીવી શકે ત્યારે જ તેમનું વિમુક્ત થવું સાર્થક ઠરે.
-
સૂરજનો ઝૂરાપો
હળવા નિબંધો
માવજી મહેશ્વરી
સરસ ઉઘાડ નીકળ્યો છે. મેઘરાજાએ ધરાને તૃપ્ત કરી દીધા પછી સૂર્ય નારાયણે સમયસર મોં બતાવ્યું છે. આઠેક દિવસ એકધારી વાદળાની જમાવટ, વીજળી, મેઘગર્જના ક્યાંક છાંટા, ક્યાંક રીમઝીમ તો ક્યાંક રમઝટ બોલાવી દઈને વરુણદેવે વિદાય લીધી. હજુ થોડા દિવસ પહેલાં આકાશ આગ ઓકતું હતું. સમસ્ત સૃષ્ટિને બાળીને ખાખ કરી દેવી હોય તેમ સવિતા નારાયણ તપ્યા હતા. અચાનક વાતાવરણ બદલાયું. કોઈ ગેબી દેશમાંથી ચડી આવેલા લશ્કરની જેમ વાદળોના દળ ખડકાઈ ગયા. તે પછી સમસ્ત જીવ જેની વાટ જોતા હતા તે મેઘરાજા પધાર્યા. સૌના માંહ્યલા તૃપ્ત થયા, ધરતીને ઠંડક થઈ ગઈ. આ વચ્ચે બીજી એક ઘટના બની. અઠવાડિયા લગી આકાશ અને અવકાશી પીંડોને વાદળોએ ઢાંકી દીધા હતા. એક અઠવાડિયામાં તો લોકો સૂરજનું મોં જોવા ઉતાવળા, અધીરા થઈ ગયા. જે સૂરજ થોડા દિવસ પહેલાં ત્રાહિમામ કરાવી દેતો હતો, એ જ સૂરજની ગેરહાજરી અસહ્ય થઈ પડી હોય તેમ લોકો તડકો જોવા અધીરા બની ગયા. શું કારણ હશે?
જરા અટકીએ, કોઈ ઉતાવળો અભિપ્રાય આપતાં પહેલાં થોડીવાર વિચારીએ. કેટલાક તિક્ષ્ણ બુદ્ધિશાળી લોકો કહી દેશે કે માણસજાતને તો કાંઈ જ નથી પોષાતું. ન ગરમી, ન ઠંડી કે ન વરસાદ. આ અભિપ્રાય સાચો હોય તોય અધૂરો છે. હા, માણસજાતનો સ્વભાવ એવો છે ખરો. પણ અહીં આપણી, એટલે કે ભારતીય લોકોની વાત કરવી છે. આપણે ઠંડી વધુ પડે કે ઓછી, ચલાવી લઈ છીએ. ગરમી ઓછી પડે કે વધુ તોય ચલાવી લઈએ.. અરે! વરસાદ ત્રણ ત્રણ વરસ ન આવે તોય દુષ્કાળ વેઠી જઈએ છીએ. ચંદ્ર દેખાય કે ન દેખાય આપણને ઝાઝો ફરક પડતો નથી. પરંતુ સૂરજનો ઝૂરાપો આપણને અસહ્ય થઈ પડે છે. જો ચાર પાંચ દિવસ સૂરજ ન દેખાય તો આપણને અસુખ થઈ પડે છે. સૂરજને જોવા, તડકાને પીવા આપણે ઉતાવળા થઈ જઈએ છીએ. શું કારણ હશે?
અહીં ઉપર ઉપરથી વિચારીને આપી દઈએ તો અનેક જવાબો મળી જશે. પણ એવું કરવાને બદલે થોડા ખાંખાખોળાં આપણી અંદર કરીએ. જરા આપણા પૂર્વજોના પગલાં તપાસીએ. સાચા જવાબો જરૂર મળશે. હા, વિજ્ઞાન કહે છે સૂર્ય આ જગતનું ચાલાક બળ છે. સૂર્ય થકી જ આ સૃષ્ટિ છે. સૂર્ય છે તો જીવન છે. પણ અહીં તો આપણે ભારતીયોએ આપણી જ રગને જાણવાની છે કે સૂરજ સાથે એવો તે કયો નાતો છે કે આપણને એના વગર ચાલતું નથી? આપણાં શાસ્ત્રોમાં સૂર્યની કેટલીય પૂજાઓ પડેલી છે. અનેક વિધિ વિધાનો સમાયેલા છે. અરે! આજે પણ સવારે સૂર્યને વંદન કરનારા કે જળનો અર્ઘ્ય આપનારા અનેક લોકો દેખાશે. કેટલાક તો સૂર્ય ન દેખાય, વાદળ પાછળ ઢંકાયેલો હોય તોય પૂર્વ તરફ માથું ઝુકાવીને નિત્ય કાર્ય આરંભે છે. વિજ્ઞાન કહે છે કે સૂર્ય આપણો સૌથી નજીકનો તારો છે. એના પ્રકાશથી આપણે જીવી શકીએ છીએ. શું સૂર્ય સાથે આપણો ખરેખર એટલો જ સંબંધ છે? ના ભારતીય લોકો માટે સૂર્ય કેવળ અવકાશી પીંડ માત્ર નથી. એનાથી સકળ જીવ સૃષ્ટિ છે, એનાથી પાણીની વરાળ બને છે, વાદળા બંધાય છે, વરસાદ પડે છે. એના સિવાય પણ સૂર્ય સાથે આપણો એક જુદો નાતો છે. સૂર્ય આપણી ચેતના આપણાં શરીરની ક્રિયાઓ અને આપણા મન સાથે જોડાયેલો છે. સૂર્ય આપણા ગમા-અણગમા, આનંદ-ઉદાસી, વિયોગ-મિલન સાથે જોડાયેલો છે. સૂરજ સામે જયારે વાદળાં આવી જાય છે, ત્યારે એ વાદળા કેવળ સૂરજને ઢાંકી દેવાં પૂરતાં રહેતાં નથી. એ વાદળાં આપણા મનના સૂરજ આડે પણ આવી જાય છે. બધું ધૂંધળું થઈ જાય છે. અને એટલે જ આપણને બેચેની થઈ પડે છે. ક્યારે હટે આ વાદળા? ક્યારે પથરાઈ જાય પ્રકાશ? ક્યારે બધું ઉજાસમય થઈ ચમકી ઉઠે! એની વિહ્વળતા આપણને ઉદાસ બનાવી મૂકે છે.
આપણે ભારતીયો અન્ય પ્રજાથી થોડા જુદા છીએ. હા, આજે અંગ્રેજી ક્લ્ચર એટલે કે પાશ્ચાત્ય ક્લ્ચરનું એક ચિત્ર લઈને જીવતા ભારતીય લોકો છે જ. એમને ભારત ઓર્થોડોક્સ લાગે છે. કેટલીક ચીજો નકામી અને પુરાણી લાગે છે. અહીં મારે કોઈ સંગઠનવાદીની જેમ સ્વદેશીના ગાણાં નથી ગાવાં. પાશ્ચાત્ય ક્લ્ચર ત્યાંની ભૂગોળ અનુસાર વિક્સ્યું છે. એ એની રીતે સાચું છે. પણ જયારે આ દેશની ધરતી પર પાશ્ચાત્ય ક્લ્ચરને લાવવું હોય તો એનું ભારતીયકરણ કરવું પડે. નહીંતર કાં ફારસ ઉભા થાય કાં વિગ્રહ! આના માટે એક ઉદાહરણ પુરતું થઈ પડશે. અમેરિકા એક એવો દેશ છે જેની અસર સમગ્ર વિશ્વના દેશો પર છવાયેલી છે. ભારતીયો પણ વાત વાતમાં અમેરિકાના વખાણ કરે છે. હવે સંસ્કૃતિ શું ચીજ છે એ વિચારીએ, તો અમેરિકાની પ્રજા કૂતરાં સાથે જોડાયેલી છે. આપણને જેટલી ગાય પ્રિય છે એટલો જ એમને કૂતરો વહાલો છે. આપણાં જીવનમાં ગાય વણાયેલી છે ત્યાં કૂતરો વણાયેલો છે. એક ભારતીય અમેરિકાની ધરતી પર જઈને કૂતરાને ભારતીય રીતે જોશે તો અમેરિકન એને સમજી નહીં શકે. કારણ અમેરિકન કૂતરા સાથે ખાઈ-પી શકશે. ભારતીય તેમ નહીં કરી શકે. એવી રીતે જો ભારતીય અમેરિકાની ધરતી પર ગાયના ગુણગાન ગાશે તો અમેરિકન એ સ્વીકારી નહીં શકે! આ છે સંસ્કૃતિ!
સંસ્કૃતિને ઘડનારા તત્વોમાં પ્રમુખ પરિબળ ભૂગોળ છે. કેટલાક લોકો રાતોરાત સમાજને સુધારી નાખવાની નેમ લઈને બેઠા છે. એ ઇતિહાસ તરફ આંગળી ચીંધીને કહે છે, પેલા દેશના લોકો આવું કરી શક્યા છે, ફલાણા દેશમાં આવા મહાપુરુષો થઈ ગયા. એમને કેમ સમજાવવુ કે દરેક પ્રજા જે કરી રહી છે કે જે માન્યતાઓ સંઘરીને બેઠી છે એના માટે એમની ભૂગોળ જવાબદાર છે. ભૂગોળ ઇતિહાસને જન્મ આપે છે. આપણાં દેશની ભૂગોળે ઇતિહાસ રચ્યો. દુનિયાભરની પ્રજાને આ દેશની સમૃધ્ધ ભૂગોળ જ ખેંચી આવી. આપણે જે કાંઈ છીએ એ આપણી ભૂગોળ થકી છીએ. આપણી ભૂગોળ આપણી માનસિકતા ઘડે છે અને ભારતીયોની માનસિકતા હંમેશા પ્રકૃતિ તત્ત્વો સાથે જોડાયેલી રહી છે. પ્રકૃતિ આપણું રોજીંદું જીવન છે. ભારતમાં એવાય લોકો છે જે રાતે ખુલ્લામાં સુએ અને તારા જુએ તો જ એમને ઊંઘ આવે. ચંદ્ર, તારા, સૂરજ, પવન, નદી ડુંગર, વૃક્ષો, પંખી આપણા જીવનમાં વણાયેલા છે. એ આપણા મનના અગોચર ખૂણામાં પોતાની આગવી જગ્યા બનાવીને બેઠા છે. એ જગ્યા આપણે ખાલી કરીને અન્ય વસ્તુઓથી ભરવાનો પ્રયત્ન કરીએ છીએ. એવું થઈ શકતું નથી એની આપણને ખબર નથી. આપણે ભારતીયો આપણા શરીરને ફક્ત મશીન નહીં બનાવી શકીએ. ક્યારેય નહીં.
સૂરજ એ રીતે આપણા લોહીમાં સમાયેલો છે. આપણાં શાસ્ત્રોમાં સૂર્ય ઉપાસનાનું મહત્વ છે. સૂર્ય જગતની ઉર્જાનું ચાલકબળ છે. સૂર્ય જડ-ચેતન સૌને જગાડે છે. આપણે ઈચ્છીએ કે ન ન ઈચ્છીએ તોય, રાત પડે આપણને ઊંઘ આવી જાય છે અને સવાર થાય ત્યારે શરીર આપોઆપ જાગી જાય છે. શું છે આ? આપણું શરીર અને મન અદશ્ય રીતે સૂર્ય સાથે જોડાયેલા રહે છે. તેથી જ આપણું શરીર સૂર્યની સાથે તાલ મેળવે છે. જયારે આ તાલ તૂટે છે ત્યારે અકળામણ થાય છે. સૂરજ આપણો રોજનો સાથીદાર છે. સૂરજ રાતભરની ઉદાસી દૂર કરી દે છે. કપરા સમયની રાત વિતાવવી મુશ્કેલ બને છે ત્યારે પૂર્વમાં પથરાતું અજવાળું એક હિમત જગાવે છે. આ છે સૂરજ અને આપણાં મનનો નાતો. આપણે ઈચ્છીએ કે વરસાદ વરસતો જ રહે. આપણી આવી લાખ ઈચ્છા છતાં સૂરજનો લાંબો વિયોગ આપણે સહન નહીં જ કરી શકીએ.
લ્યો ત્યારે આવજો. રામ, રામ.
શ્રી માવજીભાઈ મહેશ્વરીનો સંપર્ક mavji018@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
નીતર્યાં જળમાં પારદર્શક પ્રતિબિંબ
મંજૂષા
વીનેશ અંતાણી

સ્વચ્છ નદીના જળમાં તળિયા સુધીનું બધું સ્પષ્ટ જોઈ શકાય છે. એ જ નદીનું પાણી કાદવથી ડહોળાયેલું હોય તો કશું જોઈ શકાતું નથી. એ જ રીતે સરકારી વહીવટ, શિક્ષણ, જાહેર સંસ્થાઓ, ધાર્મિક સ્થળો અને સંબંધોમાં એમ જીવનનાં દરેક ક્ષેત્રોમાં પારદર્શકતા હોવી જરૂરી છે. જાહેર ક્ષેત્રોનું સંચાલન આપણા હાથમાં ન હોય, પરંતુ અંગત સંબંધોમાં પારદર્શક રહેવું આપણા હાથમાં છે.
પારદર્શક વ્યવહારથી સંબંધોમાં અરસપરસ વિશ્વાસનું વાતાવરણ રચાય છે. લોકો જાણતાં કે અજાણતાં એમની લાગણી, વિચારો, અભિપ્રાયો મન ખોલીને વ્યક્ત ન કરે તો સંબંધોમાં અસત્યો અને અર્ધસત્યોનું પ્રમાણ વધવા લાગે છે અને અપ્રામાણિકતા પ્રવેશે છે. એમની વચ્ચે આશંકા અને અવિશ્વાસ જાગે છે અને સંબંધોમાં તિરાડ પડવા લાગે છે. એક વાર તિરાડ પડે પછી સંબંધો સહેલાઈથી સાંધી શકાતા નથી.
પારદર્શકતા દરેક અંગત સંબંધોની મૂલ્યવાન મૂડી છે. સાચા સંબંધોમાં કશું છુપાવવાનું ન હોય. લાગણીઓ અને વિચારોને વ્યક્ત ન કરવાથી સંબંધોમાં એક પ્રકારની ખામોશી આવી જાય છે. ખોમોશીની દીવાલ ઊચીને ઊંચી વધવા લાગે તે પહેલાં મન ખોલીને વાત કરી લેવી જોઈએ. બારીના કાચ ધૂળ અને કચરાથી મેલા થઈ જાય તો એની આરપાર જોઈ શકાતું નથી. બધું ધૂંધળું થઈ જાય છે. એ જ રીતે સંબંધો અને વ્યવહારમાંથી પણ ખુલ્લાપણાંની બાદબાકી થવા લાગે ત્યારે વ્યક્તિઓ એકમેકને સ્પષ્ટપણે જોઈ શકતી નથી, અવિશ્વાસ અને આશંકાનાં જાળાં બાજવા લાગે છે.
ઘણા લોકોના સ્વભાવમાં નિખાલસતાનો અભાવ હોય છે. કેટલાક તો એને પોતાની મુત્સદ્દીગીરી માને છે અને એમને ખબર પણ ન પડે તેમ તેઓ એકલા પડતા જાય છે.
એક યુવાન દંપતીનાં લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયાં હતાં. બંને વચ્ચે ખૂબ પ્રેમ અને સમજણ. બધું બરાબર ચાલતું હતું, ત્યાં પત્નીને અચાનક લાગવા માંડ્યું કે એનો પતિ એને દૂર રાખવા લાગ્યો છે. એ ખુલ્લીને વાત કરતો નથી. પછી તો પતિ રોજ સાંજે ઑફિસથી મોડો આવવા લાગ્યો. એના ચહેરા પર ચિંતાની રેખાઓ વધવા લાગી હતી. પત્નીને સમજાતું નહોતું કે પતિને શું થઈ ગયું છે. એને અમંગળ વિચારો આવવા લાગ્યા. શું એ હવે એને પ્રેમ કરતો નથી? એના જીવનમાં બીજી સ્ત્રી આવી છે? એ પતિને પૂછી લેવાનો વિચાર કરતી, પરંતુ એને બંધ પેટી જેવો થઈ ગયેલો જોઈ હિંમત કરી શકતી નહોતી. એમનું જીવન શુષ્ક થવા લાગ્યું હતું. થોડા દિવસ પછી પતિના મિત્ર અને સહકાર્યકર્તાની પત્ની પાસેથી જાણવા મળ્યું કે એમની કંપની મોટા પાયે સ્ટાફની છટણી કરવાનું વિચારી રહી છે. એને તરત પતિના બદલાયેલાં વર્તનનું કારણ સમજાઈ ગયું. એ રાતે એણે રડતાંરડતાં પતિ પાસે મન ખોલ્યું – ‘તમારા પર આટલું બધું વીતે છે, છતાં તમે મને વાત પણ ન કરી? હું તમારી અર્ધાંગિની છું. મને તમારી ચિંતા જણાવી હોત, મારી સાથે વાત કરી હોત, તો તમારે એકલાએ સહન કરવું પડ્યું ન હોત અને મારા મનમાં તમારા માટે બેહુદી શંકાઓ જન્મી ન હોત.’ પતિ એની પ્રિય પત્નીને ચિંતાઓથી દૂર રાખવા માગતો હતો, પરંતુ એ કારણે એમની વચ્ચે અપારદર્શક દીવાલ ઊભી થઈ હતી. એ સ્થિતિ એમના લગ્નજીવન માટે બહુ મોટો ખતરો બની શકી હોત. પત્નીએ પણ એકવાર એને પૂછી લીધું હોત તો એને ગેરસમજ થઈ ન હોત.
જરૂર હતી બારીનો કાચ લૂછવાની. દરેક સંબંધની જેમ માતાપિતા અને સંતાનો વચ્ચે પણ પારદર્શકતા હોવી જરૂરી છે. સંતાન કોઈ ભૂલ કરે તો માતાપિતા અપેક્ષા રાખે છે કે એ એની ભૂલ કબૂલ કરે અને માફી માગે. એ જ રીતે માતાપિતાથી કોઈ ભૂલ થાય કે એમનું વર્તન અયોગ્ય હોય તો તેઓ પણ એમનાં સંતાનને કહી શકે – અમે ખોટાં હતાં.
એક વાર દસ વર્ષના પુત્રની સામાન્ય ભૂલથી પિતા એના પર ખૂબ ગુસ્સે થઈ ગયો. એણે પુત્ર સાથે અપમાનજનક વર્તન કર્યું. પુત્ર આખો દિવસ રૂમમાં ભરાઈને બેસી રહ્યો. બપોરે જમ્યો નહીં. પિતા પોતાના વર્તન માટે ક્ષોભ અનુભવતો હતો, પરંતુ પુત્ર સામે ખુલ્લો પડવા માગતો નહોતો. દીકરો રાતે પણ જમવા આવ્યો નહીં ત્યારે પિતાની અપારદર્શકતાની દીવાલ તૂટી પડી. એ દીકરા પાસે ગયો અને કહ્યું, ‘મેં આજે તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે, સૉરી.’ દીકરો પિતા ભેટી પડ્યો. એણે પણ એની ભૂલ કબૂલી. બંનેનાં આંસુઓથી એમના સંબંધોની નદીનું ડહોળાયેલું પાણી નીતર્યું થઈ ગયું. બંને જણ એકબીજાનાં મનનાં સાફ તળિયાં જોઈ શક્યા.
પારદર્શકતાની પણ સીમા હોય છે. જરૂરી નથી કે આપણા વિશેનું બધું જ દરેક જણ સામે પ્રગટ કરવું જોઈએ. દરેક વ્યક્તિ ત્રણ પ્રકારનાં જીવન જીવે છે – જાહેર, વ્યક્તિગત અને તદ્દન અંગત. જાહેરજીવન દુનિયા માટે છે, વ્યક્તિગત જીવન પરિવાર, મિત્રો અને નજીકનાં સંબંધીઓ માટે છે, જ્યારે તદ્દન અંગત જીવન વ્યક્તિનું પોતાનું જ હોય છે. એમાં દરેક વ્યક્તિને પ્રવેશ આપી શકાતો નથી બધી દીવાલો કાચની હોય અને ત્યાં પરદા લગાવ્યા ન હોય એવા ઘરમાં રહી શકીએ નહીં. પારદર્શકતાનો અર્થ એટલો જ કે દુનિયા સામે આપણો દરવાજો ખોલીએ ત્યારે એની પાછળ કોઈ બનાવટ છુપાયેલી ન હોય. વાણી-વર્તન-ઇરાદા અને આપણાં કામ વચ્ચે અંતર જણાય નહીં. આપણે આપણાં પ્રિયજનોને દુ:ખ, નિષ્ફળતા કે નિરાશાથી મુક્ત જીવનનું વચન આપી શકતા નથી. પરંતુ એમને બહુમૂલ્ય ભરોસો આપી શકીએ કે એમને આપણો અસલી ચહેરો શોધવાની જરૂર નહીં પડે.
હૃદય પારદર્શક હશે તો જીવન નદીના નીતર્યાં પાણી જેવું બની જશે. એવાં સ્વચ્છ પાણીમાં જોનારનાં પ્રતિબિંબ પણ આપોઆપ નિર્મળ બની જશે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો
-
શ્રાવણનો આ સરતો મહિનો
દેવિકા રાહુલ ધ્રુવ
શ્રાવણનો આ સરતો મહિનો, ક્યાં છે સૌનો કાનો,
ગોતીગોતી થાકી આંખો, ના દેખાય યમૂનાનો કાંઠો.વસુદેવ ને દેવકી લઈને આવે જેલની યાદો,
નંદ-જશોદા બાંધી બેઠાં ક્યારનો મનમાં માળો,
લાગણીઓ તો લળીલળીને રમવા માંડી રાસો,
ઉજાગરાએ માંડ્યો હવે લો, રાતનો અહીં વાસો,
શોધીશોધી થાકી આંખો, ના દેખાય મન-મંદિરનો માધો.ખોટી મટકી, માખણ લઈને, ગોરસ વહેંચુ ઘાટો,
નીકળ, છબીની બહાર હવે ને, તોડ પીડાની વાડો,
ખૂબ મનાવું પ્રેમથી તુજને, રહે નહિ હવે આઘો,
છાને પગલે આવીઆવી, સ્પર્શી લે સ્નેહથી વાંસો,
ખોળીખોળી થાકી આંખો, ના દેખાય વ્રજનો વ્હાલો.શ્રાવણનો આ સરતો દા’ડો, ક્યાં છે સૌનો કાનો,
શોધીશોધી થાકી આંખો, ના મળતો છેલછોગાળો.
Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
-
અપૂર્ણ સંસાર
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
“પૂરણપોળી ભાવી હોય તો એક વધુ…..ખવાઈ જશે .”
કવિતાએ પોતાના પતિ વિવેકના બૉસ શુભમ સક્સેનાની થાળીમાં એક વધુ પૂરણપોળી પીરસી. ઘીની સોડમથી શુભમનું મન તરબતર થઈ ગયું.
“આટલું તો એ ક્યારેય ખાતો નથી અને આજે ….પેટ ભરાઈ ગયું, પણ મન નથી ભરાયું. આવું સ્વાદિષ્ટ ખાવાનું બનાવતા ક્યાંથી શીખ્યાં?” શુભમના અવાજમાં પ્રસંશા અને પ્રસન્ન્તા હતી..
પોતાની પ્રસંશા સાંભળીને કવિતા શરમાઈ.
“સર, કવિતા એકદમ ઘરેલુ છે. આવી ઘરેલુ સ્રીઓ વળી ક્યાં કૂકરી ક્લાસમાં જતી હોય, એ તો ઘરમેળે જ શીખી છે.” કવિતાના બદલે વિવેકે ઉત્તર વાળ્યો.
“એક વાત કહું વિવેક? ગૃહસ્થી સંભાળવી સહેલી નથી. આજકાલ પત્ની ‘હોમમેકર’ હોય એ નિરાંતની જ નહીં ગૌરવની વાત છે.” શુભમે વિવેકની વાતને રદિયો આપી દીધો.
“અરે સર, ગૃહસ્થી સંભાળવામાં ક્યાં કોઈ ક્વૉલિફિકેશનની જરૂર છે?” વિવેકે પાંગળો બચાવ કર્યો.
“સમર્પણ, ત્યાગ જેવા ક્વૉલિફિકેશન જોઈએ જે આજકાલ બહુ ઓછી પત્નીમાં હોય છે. પત્ની હોવું અને પરફેક્ટ ગૃહિણી હોવું બંનેમાં ફરક છે. મારા મતે ગૃહસ્થજીવન પણ તપોભૂમી જ છે.
“એકવાર હું અને મેઘા હોટલમાં જમવા ગયાં હતાં. ફાઇવસ્ટાર હોટલના વાતાનુકૂલિત ડાઇનિંગરૂમમાં જમીન પર રેશમી ગાદી-તકિયા પાથરેલાં હતાં. સરસ મઝાના બાજોઠ પર મૂકેલી થાળીમાં પરંપરાગત ખાવાનું પીરસાયું. છરી-કાંટા કે ચમચીના બદલે હાથથી ખાવાનું હતું. આપણી વર્ષો પહેલાંની પરંપરા પર આપણને શરમ આવતી એ ‘સ્ટાઇલ-આઇકન’ બની છે. જમીન પરથી ઊઠીને ફરી હવે મોંઘા દામ આપીને હોટલમાં નીચે જમીન પર બેસીને જમવા જઈએ છીએ. જોકે, હાથથી જમવામાં ગજબ સંતોષ થયો હતો.”
“સર, બધાંને ક્યાં રસોઈ આવડે ? હવે તો ઘરમાં રહીનેય ખાવાનું બનાવવા બાઈ રાખે છે.”
“હશે, પણ કવિતાની રસોઈમાં જે સ્વાદ હતો એ કોઈ બાઈના હાથનો નહોતો. મને આજે અમારાં સૌ માટે ભાવતું ભોજન બનાવતી મારી મા યાદ આવી ગઈ. આખો દિવસ કામ કરતી છતાં એના ચહેરા પર તાજગી જોવા મળતી. સાંજ પડે થાકીને આવેલા પિતાજી એનો હસતો ચહેરો જોતા અને એમનો થાક ઉતરી જતો. આજે તમનેય એ જ પ્રેમથી જમાડતી કવિતાને જોઈને મને ઈર્ષ્યા આવે છે. અમારા ઘરમાં કૂક એટલી વિવિધ વાનગીઓ બનાવે છે કે જોઈને શું ખાવું, શું ના ખાવું એ વિચારવું પડે. ત્યારે આવી રીતે આગ્રહ કરીને કોઈ જમાડે તો એ ભોજનનો સ્વાદ અને આનંદ બેવડાઈ જાય.”
જમીને શુભમ જવા નીકળ્યો ત્યારે એને વિદાય આપતા કવિતા બોલી, “ફરી આવો ત્યારે મેઘાબહેનને જરૂર લઈને આવજો.”
******
શુભમના જતાની સાથે જ બૉસની હાજરીમાં વિવેક સાચવીને બેઠેલા પતિએ સંયમ ગુમાવ્યો.
રસોઈ સરસ બની હતી, કવિતાએ ભારે સૌજન્યપૂર્વક બૉસને સાચવ્યા એ વિશે પ્રસંશાના બે શબ્દો કહેવાના બદલે બૉસ આવ્યા ત્યારે વ્યવસ્થિત તૈયાર ન થવાથી માંડીને ઘરની મોંઘી ક્રોકરીના બદલે રોજિંદા વપરાશની ક્રોકરીમાં બૉસને જમવાનું પીરસવા સુધીનું લાંબુ ભાષણ કવિતાને માથે ઠોકી દીધું. લાંબા ભાષણના અંતે કવિતાને દુનિયાદારીની સમજ નથી, એવું સર્ટિફિકેટ પણ આપી દીધું.
વાત જાણે એમ હતી, કે વિવેકે બૉસની સાથે પાર્ટીમાં મેઘાને જોઈ ત્યારથી એ મનોમન મેઘા અને કવિતા વચ્ચે સરખામણી કરતો થઈ ગયો હતો.
વિવેક જ્યારે લગ્નની ઉંમરે પહોંચ્યો ત્યારે એના માટે સુયોગ્ય કન્યાની શોધ શરૂ થઈ ત્યારે એણે ઘણી યુવતીઓને નાપસંદ કરી હતી. એમાંની આ એક મેઘા હતી.
કારણ ? કારણ કે મેઘા સેલ્સગર્લ હતી. સામાન્ય ઘરની મેઘાનાં સપનાં ઘણાં બુલંદ હતાં. મેઘાના આત્મવિશ્વાસથી એ પ્રભાવિત થયો હતો. પણ, એક સેલ્સગર્લ કરી કરીને કેટલી પ્રગતિ કરે?
વળી ઘરમાંય મેઘા માટે સૌના મંતવ્ય અલગ હતાં. મેઘા જ નહીં એ વખતે જોયેલી અનેક યુવતીઓ અંગે મા, બહેનો સાથે ઘરમાં ચર્ચા થતી. વિવેક પોતે કોઈ નિર્ણય પર આવી શકતો નહોતો. કોઈનો દેખાવ તો કોઈની વાત કરવાની રીત, કોઈનું કદ તો કોઈનાં રંગરૂપ સામે વિવેકને વાંધો પડતો પરિણામે વધતી ઉંમર, માથેથી ઘટતા વાળની જેમ સર્વગુણ સંપન્ન કન્યાઓની યાદી ઘટતી ચાલી.
પાંચ-પાંચ વર્ષ સુધી મેળ પડ્યો નહીં. ભૂતકાળમાં નાપસંદ કરેલી યુવતીઓ પણ પરણીને ઠરીઠામ થઈ ગઈ. અંતે કવિતાને પસંદ કરી. કવિતા સંસ્કારી હતી, ગૃહિણી તરીકે કુશળ હતી પણ દેખાવમાં અન્ય યુવતીઓ કરતાં સામાન્ય હતી.
કવિતા એની પસંદ નહીં, મનનું સમાધાન હતી. આ સમાધાન કરતી વખતેય આગળ જોયેલી અનેક યુવતીઓ આંખ સામે આવી જતી. સતત એ સૌના દેખાવની સરખામણી કવિતા સાથે થઈ જતી.
એમાંય જ્યારે એ પાર્ટીમાં શુભમ સાથે મેઘાને મળવાનું થયું ત્યારથી એને મેઘાને નાપસંદ કરવા માટે અનહદ અફસોસ થયો. મેઘામાં આત્મવિશ્વાસ તો હતો જ અને હવે ધનાઢ્ય શુભમ સાથે પરણીને એ દેખાવ, વાણી, વર્તનથી જરા વધુ જ સફાઈદાર અને સ્ટાઇલિશ લાગતી હતી.
બસ, ત્યારથી કવિતા તરફ વિવેકની ચીઢ વધતી ચાલી, પણ એને ક્યાં ખબર છે કે શુભમ આજે કવિતાને નાપસંદ કરવા માટે પસ્તાઈ રહ્યો છે !
શુભમ અને કવિતાની સીધી મુલાકાત થઈ નહોતી. દૂર દેખાતી યુવતી તરફ ઈશારો કરીને માએ કહ્યું હતું,
“ભલે અન્ય યુવતીની સરખામણીમાં એ યુવતી સાદીસીધી દેખાય છે, પણ વ્યવહારકુશળ છે, રસોઈમાં પારંગત છે. જો તારી નજર ઠરે તો મુલાકાત ગોઠવીએ.”
પણ, દૂરથી…ઘણે દૂરથી એ યુવતીને જોઈને એને મળવાનું મન થયું નહીં. બે વર્ષ પછી મેઘા એના જીવનમાં આવી.
આજે દૂરથી જોઈને નાપસંદ કરેલી કવિતાને નજીકથી જોઈ, જાણી, ઓળખી ત્યારે એને પોતાની ભૂલ પર પારાવાર પસ્તાવો થયો અને વિવેકના નસીબ પર ઈર્ષા થઈ.
ક્યાં ઊડતાં પંખી જેવી, વર અને ઘર પ્રત્યે બેફિકર મેઘા અને ક્યાં વર અને ઘરની પળેપળે ફિકર કરતી કવિતા !?
ક્યાં મહારાજ પાસે રસોઈ બનાવડાવતી, જમવા ખાતર સાથે જમતી મેઘા અને ક્યાં મહેમાનને જ નહીં પતિને પણ આગ્રહપૂર્વક જમાડતી કવિતા !?
સાંજ પડે ઘેર આવે ત્યારે મેઘા એની રાહ જોતી હોય, વિચારોની આપલે કરતાં કરતાં સાથે બેસીને જમતાં હોય એવું કેટલીય વાર ઝંખ્યું હતું !?
કાશ, એ વખતે આધુનિક, મહત્વકાંક્ષી યુવતીની અપેક્ષા ન રાખી હોત અને સીધીસાદી કવિતાને પસંદ કરી હોત તો અત્યારે સુખ-શાંતિભર્યું જીવન જીવતો હોત.
ઘેર પહોંચ્યો ત્યારે એની હાજરીની નોંધ સુદ્ધાં લીધા વગર મેઘા લેપટૉપ પર કામ કરતી રહી.
રેડિયો પર સંભળાતા ભુપેન્દ્ર સિંઘના ગીત સાથેસાથે એ ગણગણતી હતી.
कभी किसिको मुकम्मल जहा नही मिलता
कही जमी तो कही आस्मा नही मिलता …‘વાત તો સાચી જ ને?’ ગીતના શબ્દો સાંભળીને શુભમ જરા હસ્યો.
મીનુ ત્રિપાઠી લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
