દૂરથી જ્યારે જતું કોઈ યુગલ જોઉં છું થાય છે શંકા, બરાબર મુજને દેખાતું નથી.
વાળની સરખી લટો ને ચાલ પણ સરખી રહી કોણ નર છે કોણ નારી, એ જ સમજાતું નથી.
નાઝ માંગરોલી
(૨)
આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ ચાહી અમે નો’તી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ માર્યા – પછી બાળ્યા – પછી દાટ્યા – પછી ફૂલો ધર્યા ચાલો થયું તે થઈ ગયું સુંદર સમાધિ થઈ ગઈ
શેખાદમ આબુવાલા
(૩)
આદમને આવ્યું સ્વપ્ન એવું: ગોડસે રડતો હતો રડતો હતો ને મનમહીં એ કૈંક બબડતો હતો નજદીક જઈને ધ્યાન આપી સાંભળ્યું તો છક થયો કહેતો હતો: હે રામ! ગાંધી ક્યાં મને નડતો હતો?
શેખાદમ આબુવાલા
(૪)
ગણિતમાં ગરબડ ઘણી, ભાષા મત ખંખોળ, ભૂગોળમાં ફરતું દીસે, જગ આખુંએ ગોળ, યુદ્ધ ઘણાં ઇતિહાસમાં, મનમાં કાગારોળ, હીંડે ક્યમ ભણતર તણું ગાડું ડામાડોળ.
પાંચ કલાકની માથાફોડ પાણીમાં ગઇ. ઈટોની આંખના ખુણા લાલચોળ થયા. એ આંખોમાં જાપાની બંદુકો ને તોપો દેખાણી. રાજા ડગ્યો નહિ.
ઈટો પહોંચ્યો પ્રધાનોની પાસે. પશ્ચિમની નિશાળે બરાબર ભણેલો એ અધિકારી સમજાવે છે કે “જુઓ ભાઈઓ, પીળા રંગની બે પ્રજાઓ જો દોસ્તીમાં જોડાય તો આપણે એશિયાને ગોરી પ્રજાના મ્હોમાંથી બચાવી શકશું. અમારે કાંઈ બીજો સ્વાર્થ નથી.”
પ્રધાનોએ ડોકાં ધુણાવ્યાં ઈટો કહે કે “જાન લઇશ. માની જાઓ તો ખીસાં ભરી દઈશ.” પ્રધાનો અડગ રહ્યા.
ઈટાએ જાપાની લશ્કરને સાદ કર્યો. શેરીઓમાં તોપો મંડાણી. સરકારી અદાલતો ને રાજમહેલની ચોપાસ જાપાની સંગીતો ઝબુકી ઉઠ્યાં. રાજાને યાદ આવી ૧૮૯૫ ની પેલી ભયાનક રાત્રી, જે રાત્રીના અંધકારમાં જાપાને કોરીયાની બહાદુર રાણીનું લોહી રેડેલું. રાજાનું તેમજ પ્રધાનોનાં કાળજાં ફફડી ઉઠ્યાં.
જાપાની તોપો બંદુકોથી ઘેરાયેલા એ મહેલની અંદર રાત્રીએ પ્રધાન મંડળ મળ્યું. જાપાની તલવારોના ખણખણાટ પ્રધાનોની બેઠકમાં સંભળાતા હતા. ત્યાં તો જાપાની સેનાપતિની સાથે ઈટો આવી પહોંચ્યો. એણે રાજાજીની સાથે એકાંત મુલાકાતની માગણી કરી. જવાબ મળ્યો કે “નહિ બને.”
પ્રધાન મંડળની સાથે ઇટોને રકઝક ચાલી. કોપ કરીને જાપાની હાકેમ બોલ્યો કે “કબૂલ કરીને ખીસાં ભરી લ્યો, નહિ તો ના પાડીને ડોકાં નમાવો.”
જાપાની સેનાપતિએ તલવાર ખેંચી. કારીયાનો બહાદુર મુખ્ય પ્રધાન બોલ્યો કે “સુખેથી, હિમ્મત હોય તો માથાં ઉડાવી દયો.”
“જોવું છે ?” એમ બોલીને સેનાપતિ વડા પ્રધાનનો હાથ ઝાલી, બીજા ખંડમાં ઘસડી ગયો.
બાકીના પ્રધાનોના મનમાં થયું કે આપણાં માથાં ઉડવાનો પણ હમણાંજ વારો આવી પહોંચશે. આપણી વારે ધાવા કોઈ પરદેશી પ્રતિનિધિ નથી આવ્યો. કોઇ આવવાનું પણ નથી. મરવાથી કાંઈ વળવાનું નથી. એમ સમજીને આખી રાતની એ રકઝકને અંતે પ્રધાનોએ કરારનામા પર સહી કરી. અડગ રહ્યા બે જણા–એક રાજા અને બીજો મુખ્ય પ્રધાન.
કોરીઆની અંદર આંગણે આંગણે આક્રંદ ચાલ્યું. ઈજ્જતદાર પ્રજાજનો, મોટા અમલદારો, અને એક વખતનો યુદ્ધ ખાતાનો વૃદ્ધ સચીવ રાજા પાસે જઈને આજીજી કરવા લાગ્યા કે “કરારનામું રદ કરો.”
આંસુભરી આંખે રાજા કહે “મેં સહી નથી કરી. પણ એ રદ કરવાની તો મ્હારી તાકાત નથી.”
અરજદારો પાછા ગયા,ને ઘેર જઈ રાત્રીએ આપઘાત કરી મુવા.
રાજ મહેલને બારણે બેસી લાંઘણો ખેંચવી ને આખરે ઘેર જઈ જીવ કાઢી નાંખવો, એ કારીયાવાસીઓનો સત્યાગ્રહ.
રાજા તો રઘવાયો બન્યો હતો. પારકાની દયા ઉપર જીવનારને બીજુ શું સૂઝે ? એણે અમેરિકાના પ્રમુખ પાસે ૧૮૮૨ ની સંધિ યાદ દેવા એલચી મોકલ્યો. અમેરીકાધિપતિએ ઉત્તર દીધો, “હું નહિ મળી શકું.”
એશિયાના હૈયામાંથી આ વાત જુગ–જુગાન્તર સુધી નહિ ભૂંસાય. એક શરણાગત દેશની કથની સાંભળવા માટે અમેરિકાના હાકેમ પાસે પાંચ પળની પણ ફુરસદ નહોતી ! અને પેલો ૧૮૭ર નો પુરાણો કોલ ! “હા, હા,” અમેરિકાના હાકેમે પાછળથી ઉચ્ચારેલું, “સંધિ મુજબ તો કોરીઆની સ્વતંત્રતા રક્ષવી જોઇએ પરંતુ, શું એટલી પણ અક્કલ નથી કોરીયાને, કે પોતેજ લમણે હાથ દઇને બેસે ત્યાં પારકી પ્રજા આવીને શું કરી દેવાની હતી ?”
અમેરિકાએ ઈશ્વર–સાક્ષીએ આપેલો આ કોલ ! એશિયાના ગુલામોને કપાળે આવા પ્રહારો ન પડે તો બીજું શું ?
અને પરદુઃખ ભંજન ઈંગ્લાંડ કાં ન ધાયું ? રે ! એને તો ઘણીયે ગણતરીઓ કરવાની હતી, જર્મની સામે ટક્કર ઝીલવા માટે એને ઉત્તર સમુદ્રમાં કાફલો રાખવો હતો, પૂર્વની ભૂમિમાં પોતાનાં વેપાર વાણિજ્ય તેમજ મુલ્કો સુરક્ષિત રાખવા હતાં, ને હિન્દુસ્થાન સામે ટાંપી બેઠેલા રૂશીઅન રીંછને આગળ વધતું અટકાવવું હતું ! શી રીતે ઈંગ્લાંડ પોતાના એ પરમ ઉપયોગી મિત્રને માઠું લગાડવા જાય ! ઈંગ્લાંડની આંગળી ઊંચી થવાની સાથે તો પેલા કાફલાને જાપાન દરીયાને તળીએ પહોંચાડી દે, વેપારનાં વ્હાણો પાછાં વાળે, અને પેલા રીંછને ભારતવર્ષની લીલી ભૂમિ ઉપર છૂટું મેલી દે. રે ! ઈંગ્લાંડે તો જાપાનને રાજી ખુશીથી લખી આપ્યું કે, “કોરીયાની અંદર, તમે રાજ્યદ્વારી, લશ્કરી અને આર્થિક હિત પ્રથમ દરજ્જે ધરાવો છો, એ અમારે મજુર છે !?”
૧૯૦૫ ના તહનામા ઉપર રાજાએ સહી કરી જ નહિ. પોતાના રાજમહેલમાં એ આજ કેદી બન્યો હતો. એના મનમાં ઉદ્ગાર ઉઠ્યો, “જરૂર, કોઇક પ્રજા તો મારી વારે ધાશે. શું કોઈ નહિ આવે ?”
૧૯૦૭ ની હેગ કોન્ફરન્સમાં એણે એલચી મોકલ્યો. એની વાત સાંભળવાની જ કોન્ફરન્સે ના પાડી !
જાપાને પાદશાહને પદભ્રષ્ટ કર્યો. યુવરાજને પૂતળું બનાવી સિંહાસને બેસાડ્યો.
ધારાસભામાં સર્વોપરી સત્તાધારી જાપાની રેસીડન્ટ જન૨લ. એને હાથે જ બધા અધિકારીઓની નીમણુક, અને કોઈપણ પરદેશીને સરકારમાં જગ્યા આપવાની મનાઈ !
ધીરે ધીરે મોટા હોદ્દા પરથી કોરીયાવાસીઓને ખસેડવામાં આવ્યા; તેને બદલે જાપાનીઓની ભરતી થઈ. પણ પશ્ચિમના કોઇ મુસાફરને પોતાનું ન્યાયીપણું બતાવવા ખાતર કેટલાંક કોરીયાનાં પૂતળાંને મોટી જગ્યા ઉપર રખાયેલાં, તો તે દરેકની ઉપર અક્કેક જાપાની સલાહકાર નીમી દીધેલો. સલાહકારની સલાહ ઉથાપનારો કોરીયન અધિકારી બીજે દિવસેજ ઘેર બેસતો.
કોરીયાવાસીઓ માટે જુદાજ કાયદા બન્યા. આરોપીની ઉપર આરોપ સાબીત કરવો જોઇએ તેને બદલે આરોપીએ પોતાનું નિર્દોષપણું પુરવાર કરવું પડે એવા ધારા થયા. જાપાની ભાષા રાજભાષા બની. વારંટ વિના કેદ કરવાની પોલીસને સત્તા મળી. આરોપી બચાવના સાક્ષી આપે તે સ્વીકારવાની મુખત્યારી ન્યાયાધિકારીની રહી. ન્યાયાધિકારી કોણ ? લોહીનો તરસ્યો જાપાની.
કુલ તહોમતદારો
વિના કામ ચાલ્યે સજા પામેલા.
નિદોષ ઠરેલા.
૧૯૧૩
૨૧,૪૮૩
૩૬,૯૫૩
૮૦૦
૧૯૧૪
૩૨,૩૩૩
૪૮,૭૬૩
૯૩
૧૯૧૫
૫૯,૪૩૬
૪૧,૨૩૬
૪૭
૧૯૧૬
૮૧,૧૩૯
૫૬,૦૧૩
૧૨૬
બે કરોડ કંગાળ પ્રજાજનોના ગળામાં સત્તર હજાર અમલદારોનું લોખંડી ચોગઠું આજે લટકી રહ્યું છે.
જુલમ ન સહેવાય ત્યારે અજ્ઞાન પ્રજાજન શું કરે ? ને શું ન કરે ? એને જીવવું અસહ્ય લાગે. જાલીમોના લોહીને માટે એનો પ્રાણ પોકારી ઉઠે. એક નાદાન પ્રજાજનના અંતઃકરણમાં પોતાની માતાને માટે વેદનાની જ્વાળા મળે ત્યારે એ અજ્ઞાન જીવ બીજું શું કરે ? ૧૯૦૯ની સાલમાં રેસીડન્ટ જનરલ કુમાર ઈટોનું એક કોરીયાવાસીએ ખૂન કર્યું. જાપાની જુલ્મને જાગૃત કરવા આ એકજ માણસનો અપરાધ બસ હતો. લશ્કર છુટ્યું, ધરપકડ ચાલી, અખબારો જપ્ત થયાં, અને આખરે ચાર હજાર વરસનો પુરાતન એક સ્વતંત્ર દેશ જાપાનનો એક પ્રાંત બની ગયો. ચાલીસ સૈકાનો ઇતિહાસ એક પળમાં ભૂંસાઈ ગયો. કોઇ વિક્રાળ જાદુગરની છડી અડકતાં, કોરીયાની સૂરત એવી તો પલટી ગઈ કે પોતે પોતાને જ ન પિછાને !
પ્રજાજનો કહે, “કોરીયા માતા તો મરી ગઈ. આપણે જીવીને શું કરવું છે ?” એક પછી એક પ્રજાજન આપઘાત કરી મરવા લાગ્યા. જાપાની દાનવને દેવાલયે માતા કોરીયાએ એકવાર શિલ્પ, સંસ્કૃતિ, સાહિત્ય તેમજ ધર્મનાં પુષ્પો વેર્યાં હતાં. દાનવે ગર્જના કરી કે હવે હું ફુલોનો ભોગી નથી રહ્યો. હે નારી ! મારે રક્ત જોઈએ–સંપત્તિ જોઈએ. આજ કોરીયાએ એ અસૂરને ચરણે પોતાનાં સંતાનોનાં શબનો ગંજ ખડકી દીધો છે.
નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.
આપણે જાણીએ છીએ તેમ માનવ મનની પ્રત્યેક સંવેદનાઓને કવિવરે રવીન્દ્રસંગીતની વિવિધ રચનાઓ દ્વારા વહેતી મૂકી છે. “પ્રેમ” – આ ટચુકડો શબ્દ કે જેમાં પ્રચંડ તાકાત રહેલી છે – એ સર્વોચ્ચ અનુભૂતિને પણ પ્રેમ પારજોયની અનેક રચનાઓમાં કવિવરે આવરી લીધી છે.
Love is an endless mystery because there is no reasonable cause that could explain it. – Tagore
કવિવર એવું દ્રઢપણે માનતા કે પ્રેમ તો એક ગાઢ અને ગૂઢ અનુભૂતિ છે જેના કોઈ કારણો ન હોય… જે અનાયાસે થઇ જાય તે પ્રેમ – પ્રયાસ પૂર્વક કરવામાં આવતો પ્રેમ – પ્રેમ નથી હોતો – તેને કંઈક બીજું નામ આપવું પડે … જેમ તુષારભાઈ શુક્લ લખે તેમ “દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ? એક પૂછીને થાય નહિ પ્રેમ”
આ અનાયાસે થઇ જતો પ્રેમ જ કદાચ સૃષ્ટિના સર્વે જીવો માટે ચાલક બળ બની રહે છે. અહીં પ્રેમની પરિભાષા માત્ર વિજાતીય પ્રેમ સુધી સીમિત નથી.. કોઈ પણ બે સંવેદનાસભર જીવો વચ્ચે પ્રેમ પાંગરી શકે છે, ખીલી શકે છે, મહોરી શકે છે…
પ્રેમ તો અનાયાસે થઇ જાય, પણ પ્રેમની અભિવ્યક્તિ કરવામાં તો પ્રયાસ કરવોજ પડે. પ્રેમની અભિવ્યક્તિની ઘટના તો પ્રેમ થવા કરતા પણ વધુ અગત્યની છે. તેમાંય ખાસ કરીને વિજાતીય પ્રેમમાં. આ નાજુક સંવેદનાને શબ્દોમાં વર્ણવવી કઠિન છે અને એ તો જેને અનુભવી હોય તેજ સમજી શકે….
આ પ્રેમની અભિવ્યક્તિ કરતી કવિવરની પ્રેમ પારજોયની એક ખુબજ મીઠડી રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. 1924 માં રચાયેલીઆ રચનાનું શીર્ષક છે ভালোবাসি ভালোবাসি (Bhalobashi Bhalobashi) અને તેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે “હા, હું તને ચાહું છું….”.આ રચનાનું સ્વરાંકન કવિવરે ખંભાજ રાગ પર કરેલું છે. આ રચનાને દાદરા તાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે. બંગાળી રબીન્દ્રસંગીતના ખ્યાતનામ કલાકારોના અવાજમાં આ રચનાને સાંભળવી એ એક અનેરો લ્હાવો છે.મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.
હા, હુંતનેચાહુંછું…
હા, હું તને ચાહું છું, ફક્ત તને જ ચાહું છું…
આ દૂર દૂર સુધી પ્રસરતા સૂરીલા સંગીતમાં
આ ચોમેર રેલાતા મધુર વાંસળીના ગીતમાં
આ ગગનમાં ઉભરાતા અશ્રુઓના પુંજમાં
આ ક્ષિતિજે ઉઠતા વિરહી વેદનાના ગુંજમાં
આ કિનારે આવી વિખરાતા મોજાની સરગમમાં
આ વિસરાયેલા ગીતો કેરા શબ્દોના પડઘમમાં
મારા ધબકતા હૃદયના આ અકારણ કંપનમાં
આ ટચુકડી અને મીઠડી રચના પ્રેમની અભિવ્યક્તિની રચના છે. પ્રેમના ઇઝહારની રચના છે. કોઈની સાથે પ્રેમ થવો એ તો એક અલૌકિક ઘટના છે પણ કોઈકને તમારી સાથે પ્રેમ થાય અને એ તમારી પાસે તમારી પ્રત્યેના પ્રેમને અભિવ્યક્ત કરે તે તો કદાચ અતિ-અલૌકિક ઘટના છે. It is beautiful to express love and it is more beautiful to feel it. આ રચનામાં કવિવરે એવાજ કોઈક પ્રેમીની સંવેદનાઓને વાચા આપેલ છે કે જે સમગ્ર સૃષ્ટિમાં એક સમગ્રતાથી પોતાના પ્રેમીને પ્રેમ કરે છે તે શબ્દો દ્વારા આ રચનામાં અભિવ્યક્ત થયેલ છે. જો કે પ્રેમની અભિવ્યક્તિ હંમેશા શબ્દો દ્વારા જ કરી શકાય તેવું જરૂરી નથી…સાચા અને અલૌકિક પ્રેમની એટલે કે platonic loveની અભિવ્યક્તિ પણ સહજ રીતે થઇ જાય છે. આ અલૌકિક પ્રેમમાં મૌન એ પ્રેમની પરિભાષા અને હાજરી એ પ્રેમના હસ્તાક્ષર બની જાય છે. જોકે આજના યુગમાં તો platonic love કદાચ nonexistent જ છે પણ જો ક્યાંક અને ક્યારેક તમને આવા અલૌકિક પ્રેમની એટલે કે મૌન પ્રેમની સંપૂર્ણ કે આંશિક અનુભૂતિ થાય તો માનજો કે તેમારી પાસે દુનિયાની સૌથી પ્રચંડ તાકાત છે…
તો ચાલો આ પ્રેમની દિવ્ય શક્તિની સમર્થતાને વાગોળતા વાગોળતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,
સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
પહાડોમાં ટ્રેકીંગ કરવા જઈએ ત્યારે લીલાંછમ આસમંતમાં ઉગી નીકળેલાં રંગબેરંગી ફૂલ જોઈ મન કેટલું પ્રસન્ન થતું હોય છે એ આપે અનુભવ્યું છે. જીવનના ચઢાણ પણ કંઈક એવા જ હોય છે. ચાલતાં ચાલતાં તન કે મન થાકી જાય, ત્યારે આ પગદંડીની આસપાસ પડેલાં ગીતોનાં ફૂલ નિરખીયે ત્યારે કાનમાં તેમનો સુમધુર ઝંકાર સંભળાય. તેમાં એક એવો પમરાટ હોય છે, જેની સરખામણી આપણી ડાયરીમાં રાખેલાં પુષ્પોની પાંખડીઓ સાથે કરી શકાય. પાનું ખોલતાં તેમાંથી સૌરભ નીકળે એવાં ગીતો જે આધુનિક જગતની ગતિમાં ખોવાઈ ગયા છે. પણ તેનું માધુર્ય એવું જ તાજું રહ્યું છે! આજે સૌથી પહેલાં યાદ આવી સ્વ.ગીતા રૉયની. તેમનાં ઓછાં જાણીતા પણ અત્યંત મધુર ગીતોની વાત કરીએ તો યાદ આવે છે,
‘કોઈ ચૂપકે સે આ કે, અપના બનાકે બોલે કિ મૈં આ રહા હું’
ફિલ્મ ‘અનુભવ’નું આ ગીત ગીતા રૉયે ગાયું અને અભિનય છે તનુજાનો. આ ફિલ્મમાં તનુજાનો અભિનય એટલો તો સુંદર હતો, તે સમયના વિવેચકોએ આ ફિલ્મને ‘તનુભવ’ કહીને બીરદાવી હતી. આ જ ફિલ્મનું બીજું ગીત…
મુકેશજીએ પહેલું ગીત ગાઈને સૌનું ધ્યાન ખેંચી લીધું. તે વખતે તેમણે સીધી સાયગલ સાહેબની ઢબથી ગાવાનો પ્રયત્ન કર્યો. કોણ જાણે કોણે તેમને કહ્યું કે ચિત્ર, કથા કે કલામાં નકલ કરતાં મૌલિકતાનું મૂલ્ય અનેકગણું હોય છે. તમે તમારા આનંદ માટે તમારા સ્વત્વને બહાર લાવે તેવું ગાશો તો બીજા કોઈને તે ગમશે કે નહિ, પણ તમે તેનો આનંદ જીવનભર લઈ શકશો! મારી અનભિજ્ઞ દૃષ્ટીમાં તેમણે ગાયેલાં બિન-ફિલ્મી કે ફિલ્મી ગીતોમાં જુદી ભાત પાડી ગયા તે ગીતો છે :
જાણે આપણા ઘરમાં જામેલી મહેફીલમાં મુકેશજી આવીને ગાઈ રહ્યા છે!
***
ઓ.પી. નૈયર માટે કહેવાય છે કે તેમણે સંગીતબદ્ધ કરેલા પહેલા ગીત બાદ સંગીતના ક્ષેત્રમાંથી વિદાય લીધી હોત તો પણ તેઓ ચિરસ્મરણીય થયા હોત! આ ગીત રચવા માટે HMV કંપનીએ તેમને અૉફર આપી : રોકડા વીસ રુપિયા અથવા ‘વેચાય તો રૉયલ્ટી’. પહેલા ગીત માટે તેમણે ‘રોકડી’ કરી લીધી. ગાયકે રૉયલ્ટી પસંદ કરી અને તે જમાનામાં દોઢ લાખ કમાયા. તે જમાનામાં સરકારી ક્લાર્કનો પગાર ૭૫ રૂપિયા હતો! ગીત હતું
‘પ્રિતમ આન મિલો
દુખિયા જીયા બુલાયે…’
અને ગાયક ચંદ્રુ આત્મા – જેમનું સૂરજ્ઞાન શૂન્યવત્ હતું પણ આત્માની જેમ અમર થઈ ગયા! શ્રેય તો અલબત્ નૈયર સાહેબને!
સદ્ભાગ્યે નૈયર સાહેબે ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને અનેક અણમોલ ગીતોનો વારસો છોડી ગયા.
ઓ પી નય્યરે આ ધુનને ફરી એક વાર કરૂણ આર્જવનાં તીવ સ્વરૂપે પ્રયોજી
આશાજીએ આ ગીત ગાઈને તો કમાલ કરી! ભારતીય સિને સંગીતનો Hall of Fame કદી બનાવવામાં આવે, તેમાં આ ગીત અચૂક આવે!
આશાજીએ ગાયેલાં અદ્વિતિય ગીતોમાં યાદ આવે છે. એક વસમી વિદાયની યાદ આપતું બીજું ગીત: જીવનની બંદીશાળામાં પૂરાયેલી બહેન શ્રાવણની અમિધારા જોઈને ગાય છે- પિતાજી, સાવન આવ્યો છે. આ વરસે તો ભાઈને મોકલી મને પિયર બોલાવો…
‘અબ કે બરસ ભીજ ભૈયા કો, બાબુલ”
***
સ્મૃતિવનની વાત કરીએ તો પંકજદા’ની યાદ આવ્યા વગર ન રહે! યાદ છે આ ગીત?
તેરે મંદિરકા હું દીપક જલ રહા…
ક્રિસમસ કૅરલ, સામાન્ય રીતે, હંમેશા ગવાય છે પાશ્ચાત્ય સંગીતના ઢાળમાં. પરંપરાગત ભારતીય સંગીત, તે પણ કર્ણાટક પદ્ધતિમાં ગવાયેલું આ કૅરલ યાદ છે આપને? એ. આર. રહેમાન જેવા પ્રતિભાશાળી સંગીતકાર જ આવી અપ્રતિમ કૃતિ આપી શકે:
આજના અંકની આખરમાં એક મહાન ગાયકના કંઠે ગવાયેલ અદ્ભૂત ગીત રજુ કરીશ. આ ગીત પણ લગભગ ભુલાઈ ગયું છે. જો કે તેની તાજગી હજી પણ એવીને એવી જ રહી છે. સ્વ. સાયગલ સાહેબે ગાયેલું ચંડીદાસનું કિર્તન …
આપણને કોઇ પ્રશ્ન કરે કે “તમે ખેત ઉત્પાદિત માલની ગુણવત્તા વિશે વધુ કાળજી રાખો કે માલના મણિકા વધુ મળે એ બાબતે ? ” મોટા ભાગના ખેડૂતો તરફથી તુરતમાં જ મળનારો જવાબ હશે- “ ગુણવત્તા બુણવત્તા કોરાણે મૂકી, વધુ ખનખનિયાં જોઇતાં હોય તો માલનો જથ્થો વધારવા તરફ પહેલું ધ્યાન આપવું પડે !”
પણ હવે એવું નથી રહ્યું. પહેલાં માલની ગુણવત્તા તરફ ઓછું ધ્યાન અપાયે ચાલતું હતું. પણ હવે જ્યારે ગ્રાહક માલની ગુણવત્તા [ક્વોલીટી] તરફ વિશેષ ધ્યાન દેવા લાગ્યો છે ત્યારે, માલનો માત્ર જથ્થો [કવોન્ટીટી] વધુ નાણાં નથી અપાવતો. હા, જથ્થો વધુ મળે તેવું આપણું લક્ષ અવશ્ય હોય પણ સાથોસાથ પેલા ડોક્ટરે કર્યા જેવું “ઓપરેશન સફળ પણ દર્દીનું મૃત્યું ” એવું ન થઈ જાય તેય જોવું જોઇશેને ? ક્વોન્ટીટીથીયે વિશેષ ક્વોલિટી પર ધ્યાન આપવાનો તકાદો નવી વૈશ્વિક બજારની સ્પર્ધાએ ઊભો કર્યો છે. એટલે એ બાબત ધ્યાન નહીં અપાય તો ભારતનો ખેડૂત ફેંકાઈ જવાનો.
દાણા અને ફળનું કદ ; અરે ! આપણી પરંપરાગત ચાલુ બજારની રૂખ તપાસો ! દા. ત. ફળોમાં બોર લો. ઉમરાન અને ગોલા બન્ને જાતોનાં ઝાડવાં પર મોટાં અને નાનાં એમ બે પ્રકારનાં બોર મળતાં જોશો. એક પૂરા કદના મૂઠી મૂઠી જેવડાં મોટાં અને બીજા નાનાં – છબ્બા-પાંચિકા ઘાટના ચમેલી બોર. ઝાડવા પરથી સંખ્યાની દ્રષ્ટિએ ચમેલી બોર મળે ઘણાં, કદાચ મોટાની સરખામણીએ વજનમાં પણ બમણાં ! પણ મોટાં બોરની સરખામણીએ ફળો વિણવાની મજૂરી લાગે ત્રણગણી વધારે અને બજારમાં વેચવા જતાં ભાવ મળે મોટાની સરખામણીએ ૬૦ ટકા જ ! [૪૦ % ઓછા ] એવો બે બાજુનો માર એકલા જથ્થાને વળગવા જઈએ તો પડે !
દાડમનું પણ આવું જ. મોટાં દાડમ ૫ કીલોમાં ૮ થી ૧૦ નંગ આવે, જ્યારે નાનાં આવે ૨૦-૨૫. પણ બન્ને વચ્ચે ફરક ભાજી અને ખાજાનો ! બેય વાના ટકે શેર વેચવા હોય તો કોઇ ગંડુરાજાની નગરી ગોતવી પડે. પણ ત્યાંની ખબર છે ને-શોધી ચડાવે શુળીએ જાડા નરને જોઈ !
મગ, ચણા, વાલ જેવા કઠોળ કે જીરૂ-વરિયાળી-રાઇ-ધાણા જેવા મસાલામાં નાનાની સરખામણીએ મોટા કદનો દાણો સમજણા ગ્રાહકની નજરે પહેલી પસંદગી પામે છે.બાજરા, ઘઉં અને જુવારને દળી, તેનો લોટ કરીને ખવાય છે. ત્યાં દાણો ઝીણો હોય કે મોટો, લોટમાં એ દેખાય ખરું ? છતાં મોટા દાણાવાળું અનાજ સવાયા-દોઢા ભાવ આપીને કેમ ખરીદાય છે ? દાણાની ગુણવત્તા લોટમાં ઉતરે. એટલે આપણું ઉત્પાદન માત્ર એકલું વજનમાં વધુ હોય એટલું પૂરતું નથી. પણ કદમાં મોટું અને તેજવાળું આકર્ષક હોય, એ પણ એટલું જ મહત્વનું બની રહે છે.
ઉત્પાદનનો સ્વાદ : ઘણીવાર એવું બનતું હોય છે કે અનાજ, ફળ કે શાકભાજીના સ્વાદ અને સુગંધ એવાં હોય છે કે ખાનારને પરાણે વ્હાલાં લાગે ! કેરીમાં ‘કેસર’ એટલે જાત કેસર ભલેને હોય, પણ મણાર [ભાવનગર જિલ્લો] ની કેસર અને નવસારીની કેસરમાં સો અને છ નો ફેર હોય છે ભાઇ ! એવું જ રીંગણે રીંગણે ફેર, દાણે દાણે ફેર. એક બાજરાનો રોટલો ખાવાથી પણ ખ્યાલ ન આવે કે શું ખાઇએ છીએ ! જ્યારે બીજી જાત એવી હોય છે કે બાજુના ઘેર તાવડીમાં ચડતો હોય અને રોટલાની સુગંધ આપણા ઘેર આવે ! માલ એવો પકાવવો જોઇએ કે માણસ ખાતા કે ઉપયોગ કરતાં ન ધરાય ! હાઇબ્રીડ બાજરી ઉતરે વીઘે ૩૦ મણ અને દેશી બાજરો ઉતરે ૧૫ મણ. પણ ખાનાર ભાવ આપે હાઇબ્રીડની સરખામણીએ દેશીના ત્રણગણા વધુ ! આપણે શું કામ વધુ મણીકા લેવાનો આગ્રહ રાખવો ?
ઉત્પાદનની ચોખ્ખાઇ : આપણે એવું પણ ક્યાં નથી જોયું કે કપાસનો તોલ ચાલુ હોય અને ગાળે-ગોંખલેથી ઉંદરો દ્વારા નુકસાન પહોંચેલ ભડવાળો માલ ભળાય કે થડીના તળીએથી થોડી પીળી ટાંચવાળો કે ભેજવાળો, સહેજ શ્યામ પડી ગયેલો કપાસ ભળાય એટલે તોલાટ તોલ પડ્યો કરી, ભાવમાં કાપકૂપ કરવાની માથાકૂટ શરૂ કરી દે છે. આવું તો માર્કેટયાર્ડમાં પણ એક બે ને ત્રણથી વાહનમાં ભરેલ કપાસનો ભાવ નક્કી કર્યા પછી પણ વેપારી તળીએથી કીટી-કસ્તર કે ડોચકાંવાળો થોડો પણ માલ ભાળી જાય તો ભાવ તોડ્યા વિના તોલ આગળ ચાલુ કરતો નથી.
તમને પણ અનુભવ હશે, કે મગફળીનો તોલ ચાલુ હોય અને વેપારીની ઝીણી નજરમાં એકલ દાણાની શીંગ નજરે પડે તો કચવાતે મને જોખવાનું ચાલુ રાખે છે, પણ શીંગ સાથે થોડીકેય માટી ચોટેલી કે ભાંગલી-તૂટેલી કે સળેલી શીંગ, કે સાથે થોડી ડાંખળી કે થડિયાંના કટકા નજરે ચડી જાય તો વિફરે છે. ટકાવારી ગણીએ તો બે-પાંચ ટકાથી વધુ ખરાબ શીંગ,ડાંખળાં કે માટીનું વજન હોય નહીં ! પણ એ ૧૫ % કડદો કરવાનું નક્કી કરાવીને જ ખુડદો [ભેગો આપણોય } કરતા હોય છે. એટલે માત્ર વધુ વજન એજ આપણું લક્ષ નહીં રહેતાં, ચોખ્ખું પણ એટલું જ હોવું જરૂરી છે.
ઉત્પાદનની એક સમાનતા : પાકાં આમળાં કે બોરના પેકીંગનું મોઢું માર્કેટયાર્ડમાં દલાલ ખોલે કે તરત ખરીદનાર વેપારી ઝબ…..કરતો ને ખોબો ભરે છે. અને એમાં મોટાં ભેળાં જો થોડાકેય નાનાં ફળો ભાળી જાય, એટલે આવી જ બને આપણું ! બસ, “તમારો માલ આવો અધ-બે-હરો ને સાવ નબળો છે” કહી, બને તેટલા નીચા ભાવે પડાવી લેવાની પેરવી આદરે છે.
રીંગણાં કે ભીંડાની પોટકી શાકપીઠમાં હરાજી અર્થે ખોલે અને અંદર જો થોડીકેય છાલ પાકટ થઇ ગયેલાં એકાદ-બે રીંગણાં કે ભીંડાની શીંગ ભલે ને થોડી અમસ્તી નજરે ચડી જાય, એટલે આખી પોટકીનું જ આવી બને ! દૂધીની ભારીમાં ઘરડી દૂધીનો વાંધો લે તે તો સમજાય, પણ વધુ પડતી કૂણી ભાળી જાય, તો તેનો પણ “કાળી પડી જાય” કહી વાંધો દેખાડે. અને સાવ નાખી દીધાના મૂલે માગણી કરે ! અરે, બજાર થોડા મંદ હોય અને દૂધી-રીંગણાંમાં થોડુકેય કહેવાપણું હોય, તો હરાજીમાં જવાને બદલે પોટકાં સીધાં ગાયોના મોઢે ઠલવવાના થાય, અને ચલાખા ખેંચી ઘરભેગા થવું પડે તે વધારામાં.
રસાયણ મુક્ત ઉત્પન્ન : આપણે ત્યાંથી નિકાસ કરીને પરદેશ મોકલેલ હજારો મણ તલ ભરેલી સ્ટીમરો અંદર ઝેરી રસાયણોની અસર માલુમ પડતાં, માલ ઉતાર્યા વિનાની એમનેએમ પાછી આવ્યાની નોંધ આપણા રેકર્ડમાં છે. અને હવે તો આંતરરાષ્ટ્રીય બજારો ખુલ્લા થતાં આપણી પેદાશોમાં કોઇપણ રસાયણકે ઝેરની અસર, તેમને વાંધાજનક હોય તેવા પ્રમાણથી વધુ જણાય, તો તેવું ઉત્પાદન દેખાવમાં ભલેને ખૂબ આકર્ષક અને કદમાં મોટું હોવા છતાં તે નાપાસ થાય છે.અરે ! હવે તો માલ ઉતાર્યા પછીની તેની ટકાઉ શક્તિ [કીપીંગ કેપેસીટી] તે કેટલો સમય બગડ્યા વિના એવીને એવી તાજગી ટકાવી શકે છે , તેનું પણ મૂલ્ય આંકવામાં આવી રહ્યું છે.
યોગ્ય પ્રક્રિયા : જો આ બધાનો વિચાર નહીં કરીએ તો કેમ ચાલશે ? છોડ કે ઝાડ પર તૈયાર થતા દાણા કે ફળ નાનાં હશે કે મોટાં, તંદુરસ્ત પાકશે કે સળેલાં, અરે ! ઝેરી અસરથી મુક્ત હશે કે ઝેરી અસરવાળાં, તેતો પાકની વાવણીથી માંડી લણણી સુધીના ગાળા દરમ્યાન તેને અપાયેલી માવજતો, તેની રોપણી વખતે વપરાયેલ બિયારણની જાત, અને કુદરત તરફથી હવામાનમાં થયેલા ફેરફાર પર આધારિત હોય છે. પણ તે તૈયાર થયા પછી તેને ગ્રાહક, વેપારી કે બજાર સુધી પહોંચાડતાં પહેલાં આપણે ખેડૂતો તેના પર કરવી જોઇતી ચોખ્ખાઇની, ગ્રેડીંગની અને પેકીંગની પ્રક્રિયાઓ કરવા માટે જવાબદાર છીએને ! તો એવું કરવાનું બાજુ પર રાખી વજન વધુ, [મણિકા] થોકબંધ માલ પકાવ્યાની ડંફાસ માર્યા કરીએ એટલે એકડા વિનાનાં એકલાં મીંડાં ગણવા જેવી વાત થઈ ગણાય.
તમે જ કહો !: આપણી કઈ આંખ ફૂટે તો દુ:ખ ન લાગે ? ખેડુતને મન ઉત્પાદનનો “જથ્થો” જમણી આંખ છે, તો તેની “ગુણવત્તા” ડાબી આંખ છે. ડાબી ફૂટે કે જમણી, ઉત્પાદન તો કાણિયું જ કહેવાશે ને ! વધુ જથ્થામાં ઉત્પાદન અને એય પાછું ગુણવત્તામાં અવ્વલ નંબરવાળું ઉત્પન્ન થાય ત્યારે જ તેની નજરે પોતાની અને સમાજની બન્નેની સમૃદ્ધિના દર્શન પામી શકે.
પક્ષીઓ ધ્યાનથી જોવાનું શરૂ કર્યું તે પહેલાં, એક નાનું રહસ્ય હતું જે ક્યારેય મારાથી ઉકલતું નહોતું.
દર ઉનાળાની બપોરે, મને મારા ઘર નજીક, ધાતુ પર કંઈ ટીપાતું હોય એવો એકતાન, એક વિચિત્ર, અવાજ સંભળાતો.
“ટુક…ટુક…ટુક…ટુક…”
મને હંમેશા એમ લાગતું કે નજીકમાં કોઈ કાર રિવર્સ ગિયરમાં ફસાઈ ગઈ છે. અવાજ એટલો ચોક્કસ અને પુનરાવર્તિત હતો કે તે કૃત્રિમ લાગતો હતો. હું ક્યારેક આસપાસ પણ જોતો કે કયું વાહન આ અવાજ કરી રહ્યું છે. પરંતુ મને ક્યારેય તેનો સ્ત્રોત મળ્યો નહીં. આખરે, મેં તેના પર પ્રશ્ન કરવાનું બંધ કર્યું અને તેને શહેરના પૃષ્ઠભૂમિ અવાજના ભાગ રૂપે સ્વીકાર્યું.
વર્ષો પછી, મેં પક્ષીનિરીક્ષણ કરવાનું શરૂ કર્યા પછી, મેં ફરીથી તે જ અવાજ સાંભળ્યો. આ વખતે, રસ્તા તરફ જોવાને બદલે, મેં ઝાડ તરફ જોયું.
ત્યાં, લીમડાના ઝાડના ગાઢ પાંદડાઓમાં સ્થિર બેઠેલું, એક નાનું લીલું પક્ષી અથાક અવાજ કરી રહ્યું હતું. તે દિવસે મને તે ટુક ટુક અવાજનો સ્ત્રોત મળ્યો – કોપરસ્મિથ બાર્બેટ, જેને ગુજરાતીમાં કંસારો તરીકે ઓળખાય છે, તે નજરે પડ્યું.
“કોપરસ્મિથ” નામનું અંગ્રેજી નામ સીધું તેના અવાજ પરથી મળ્યું છે. તેનો અવાજ જાણે તાંબા-પિત્તળનો કારીગર (કંસારો) સતત ધાતુ પર હથોડી ટીપતો હોય તેવો અવાજ સંભળાય છે. ગુજરાતીમાં, “કંસારો” નામ પણ તેને તેજ કારણથી મળે છે એન્જિન અને ઇલેક્ટ્રોનિક રિવર્સ એલાર્મ અસ્તિત્વમાં આવ્યા તે પહેલાં, લોકોએ આ પક્ષીના લયની તુલના ધાતુકામના અવાજ સાથે કરી હતી.
સંવર્ધન ઋતુ દરમિયાન, ખાસ કરીને માર્ચથી જૂન દરમિયાન, કંસારો સતત ઘણી મિનિટો સુધી સતત અવાજ કરી શકે છે, ઘણીવાર તે બપોરની ગરમીમાં બોલવાનું શરુ રાખે છે જ્યારે મોટા ભાગના અન્ય પક્ષીઓ શાંત થઈ જાય છે. મધુર ગીત ગાતા પક્ષીઓથી વિપરીત, તે તેના અવાજમાં બહુ ફેરફાર કરતું નથી. તે ફક્ત યાંત્રિક અને પુનરાવર્તિત અવાજ સળંગ કાઢે છે.
[વહેલી સવારે ઊંચી ડાળ પર તડકો સેકતો કંસારો]પહેલી નજરે, કોપરસ્મિથ બાર્બેટ એક સામાન્ય લીલું પક્ષી લાગે, પરંતુ નજીકથી જોવામાં સુંદર વિગતો દેખાય છે: કપાળ પર એક તેજસ્વી લાલ ડાઘ, આંખ આસપાસ પીળી રીંગ, જાડી ભારે ચાંચ, અને ગળા અને છાતી પર સૂક્ષ્મ રેખાઓ. તેનું લીલું શરીર તેને પાંદડા સાથે સંપૂર્ણ રીતે ભળી જવા દે છે. તે અવાજ કરતી વખતે સ્થિર બેસે છે જેની કારણે તે દેખાય ઓછી સંભળાય વધારે છે.
આ પ્રજાતિ ભારતીય ઉપખંડમાં વ્યાપકપણે મળે છે અને માનવોની નજીક રહેવા માટે ટેવાયેલી છે. તે બગીચાઓ, ખેતરો, મંદિરો, કોલેજ કેમ્પસ અને વ્યસ્ત નગરોમાં પણ સામાન્ય છે. તેને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા ઓછામાં ઓછી ચિંતાજનક પ્રજાતિ તરીકે તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે, જેનો અર્થ છે કે તેની વસ્તી સ્થિર માનવામાં આવે છે. શહેરી વાતાવરણમાં તેની અનુકૂલનક્ષમતાએ તેને ટકી રહેવામાં મદદ કરી છે જ્યાં ઘણી અન્ય પ્રજાતિઓ ટકી રહેવા માટે સંઘર્ષ કરે છે.
કોપરસ્મિથ બાર્બેટ મુખ્યત્વે અંજીર, વડ, પીપળા, ઉંબરા જેવા વૃક્ષોના ટેટા, જામફળ વગેરે જેવા ફળો ખાય છે.આમ કરવાથી, તે બીજ ફેલાવનાર તરીકે મહત્વપૂર્ણ ઇકોલોજીકલ ભૂમિકા ભજવે છે. ફળો ખાધા પછી, તેની ચરક દ્વારા બીજનો ફેલાવ કરે છે, જે પરોક્ષ રીતે નવા વૃક્ષોના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપે છે. આપણા શહેરોમાં છાંયો પૂરો પાડતા ઘણા મોટા વડ, પીપળા અને ઉંબરાના વૃક્ષો તેમના બીજના ફેલાવ માટે કંસારા જેવા ફળાહારી પક્ષીઓ પર નિર્ભર કરે છે. ઘણી વખત બચ્ચાઓને પૂરતું પોષણ પૂરું પાડવા તે ઘણી વખત જીવ-જંતુઓનો પણ શિકાર કરે છે.
આ પક્ષીના નર અને માદા દેખાવમાં સમાન હોય છે, જેના કારણે બાર્બેટની ઓળખ ખૂબ જ સરળ બને છે. તેઓ ઘણીવાર ઝાડના થડ પર ચઢતા જોવા મળે છે, જે લક્કડખોદ જેવું જ વર્તન દર્શાવે છે – તેઓ લક્કડખોદની જેમ ઝાડમાં નાના છિદ્રો પણ ખોદે છે, જે તેમના માટે રહેવા અને માળો બાંધવા માટે પૂરતા મોટા હોય છ. કંસારો કેવીટી નેસ્ટર હોય છે એટલે કે તે ઝાડના પોલાણમાં માળો બાંધતા હોવાથી, કાબર જેવા અન્ય પક્ષીઓ સાથે સ્પર્ધા તેમના માટે થોડી સમસ્યારૂપ છે.તેની મજબૂત ચાંચનો ઉપયોગ કરીને, તે મૃત અથવા નરમ લાકડામાં એક સુઘડ, ગોળાકાર પ્રવેશદ્વાર બનાવે છે અને થડ અથવા ડાળીની અંદર એક ચેમ્બર બનાવે છે. નર અને માદા બંને આ પ્રયાસમાં ભાગ લે છે. આ પોલાણનો પાછળથી અન્ય નાના પક્ષીઓ જેમ કે દૈયડ, રાખોડી રામચકલી વગેરે દ્વારા ફરીથી માળો બાંધવા ઉપયોગ કરી શકાય છે, જે બાર્બેટનો સ્થાનિક ઇકોસિસ્ટમમાં વધારાનો એક નાનો પણ મહત્ત્વનો ફાળો છે.
[માળો બનાવવા માટે ઝાડના થડમાં છિદ્ર ખોદતો કંસારો]આવા નાના પક્ષીઓ જેમણે, શહેરો અને માનવ-પ્રભુત્વ ધરાવતા લેન્ડસ્કેપ્સમાં રહેવા માટે સંપૂર્ણ રીતે અનુકૂલન સાધી લીધું છે, શાંતિથી આપણા રોજિંદા જીવનની પૃષ્ઠભૂમિ બનાવે છે. આપણે તેમને વાયર પર, છત પર, બગીચાઓમાં, અને આપણી બારીઓની બહાર પણ જોઈએ છીએ – છતાં આપણે ભાગ્યે જ તેમની નોંધ કરીએ છીએ, પરંતુ આ પક્ષીઓ સામાન્ય નથી. તેઓ માનવ પ્રવૃત્તિઓના ભારે દબાણ હેઠળ રહેલા ઇકોસિસ્ટમમાં સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘણા જંતુઓની વસ્તીને નિયંત્રિત કરે છે, કુદરતી રીતે જંતુઓ ઘટાડે છે. કેટલાક પરાગનયનમાં મદદ કરે છે, જ્યારે અન્ય બીજ ફેલાવે છે, જેનાથી જગ્યાઓમાં પણ ઉગાડી શકે છે. સફાઈ કરતી પ્રજાતિઓ કચરો સાફ કરે છે, રોગનો ફેલાવો અટકાવે છે.
એવા શહેરોમાં જ્યાં કુદરતી રહેઠાણો સંકોચાઈ રહ્યા છે, આ પક્ષીઓ શાંત ઇકોલોજીકલ કાર્યકરો તરીકે કાર્ય કરે છે. તેઓ શહેરી જીવનને સ્વસ્થ, સ્વચ્છ અને વધુ સંતુલિત બનાવે છે – ઘણીવાર આપણને ખ્યાલ પણ નથી આવતો.
તેમનું રક્ષણ કરવું એ ફક્ત પક્ષીઓને બચાવવા વિશે નથી; તે માનવ જીવનને ટેકો આપતા નાજુક ઇકોલોજીકલ નેટવર્કનું રક્ષણ કરવા વિશે છે.
આઠ-દસ હજાર ફીટ ઊંચે ઊડતાં ઊડતાં, ઍમૅઝોનીય ગણાતા અત્યંત ગીચ જંગલમાં ઊંડે ઊંડે છુપાયેલો રહેલો કોઈ જળ-પ્રપાત જોવા મળે, તો તે પળોને વિશિષ્ટ જ કહેવી પડે. ગયાનામાં નદીઓ જ એટલી બધી છે, કે એમના પરથી પડતા ધોધ ત્રણસોથી વધારે હોવાનું ગણાય છે. પણ એ બધાંમાં મોટામાં મોટો તે છે આ કાઇયેટ્યર પ્રપાત.
પાકારાઇમા કહેવાતા પર્વતીય પ્રદેશમાં થઈને જતી પોટારો નદી ક્યાંક અચાનક દેખાવા માંડે છે, ત્યારે રૂપેરી સેંર જેવો એનો પ્રવાહ, સૅન્ડસ્ટોનના બનેલા ઘણા પાષાણો પરથી જતો હોય છે. એવી જ અચાનક કોઈ પળે, પાષાણની અર્ધ-ગોળાકાર કિનારી પરથી, ખૂબ ઝડપ અને જોરની સાથે, પ્રવાહ નીચે તરફ ઝંપલાવે છે. પાણી ક્યાંક ઝાંખા, ને ક્યાંક ઘેરા બદામી-કેસરી રંગ જેવું દેખાય છે.
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
અમાપ અનહદમાં ઊડતા કોઈ નાનકડા પંખી જેવા સૅસ્ના વિમાનમાંથી થયેલું આ અનન્ય વિહંગાવલોકન હતું. કુદરતનું અસાધારણ રહસ્ય અમને નરી આંખે જોવા મળ્યું હતું. એવી જ રીતે, સહેજ વારમાં, એ દૈવી દૃશ્ય આંખથી ઓઝલ પણ થઈ ગયું, અને એક નાના ખુલ્લા મેદાનમાં વિમાન નીચે ઊતરી આવ્યું.
વિમાનથી જરાક જ દૂર, કોલોનિયલ શૈલીનું એક મકાન હતું. એમાં થોડી સગવડ બનેલી હતી – ટૉઇલૅટ, ટેબલ-ખુરશી, માહિતી આપતા કાગળો, પરિસરનો નકશો, અને એક ઓરડો, જેમાં અમેરીન્ડિયન કહેવાતી તળ-જાતિના લોકો દ્વારા બનાવેલી થોડી નાની ચીજો વેચવા મૂકેલી હતી. ધીરે ધીરે કરતાં, આ ધોધ જોવા આવનારાં પ્રવાસીઓની સંખ્યા વધતી ગઈ છે. વર્ષમાં સાડા છ-સાત હજાર લોકો અહીં આવે છે.
‘અમેરિકાનાં ઇન્ડિયન’ – એ પરથી ‘અમેરીન્ડિયન’ શબ્દ બનાવાયો છે, અને સમગ્ર કરીબિયન દેશોની જુદી જુદી તળ-જાતિઓની પ્રજાને માટે એ વપરાય છે. ગયાનાની સરકાર એ ચોકસાઈ રાખે છે, કે દેશના બધા નેશનલ પાર્કના વિસ્તારમાં કામ કરનારાં દરેક જણ અમેરીન્ડિયન તળ-જાતિઓનાં હોય. આ માટે, નજીકનાં અમેરીન્ડિયન ગામોમાંનાં, લાયક તથા રસ ધરાવતાં, સ્ત્રી-પુરુષોને ટ્રેઇનિન્ગ આપવામાં આવે છે.
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
પ્રવાસીઓને જાતે જાતે આ પરિસરમાં ફરવાની મનાઈ છે. ને તેથી, એક અમેરીન્ડિયન યુવાન ગાઇડ અમારા વિમાનની રાહ જોઈને ત્યાં ઊભો હતો. એનું નામ રૉમૅલ હતું, એ સારું અંગ્રેજી બોલતો હતો, અને અમને ઘણી માહિતી પૂરી પાડતો રહ્યો.
એક હજારથી પણ વધારે કિ.મિ.માં પથરાયેલો આ પરિસર કાઇયેટ્યર નેશનલ પાર્ક કહેવાય છે. ૧૯૨૦ના દાયકામાં સ્થાપિત થયેલો આ સુરક્ષિત પરિસર આખા દક્ષિણ અમેરિકા મહાખંડમાં જૂનામાં જૂનો ગણાય છે. અહીં આવનારા દરેક જણે બહુ કડક નિયમો પાળવાના હોય છે. જેમકે, ક્યાંય કોઈ પણ જાતનો કચરો કરાય નહીં, કશું ફેંકાય નહીં, ને અહીંથી કશું લેવાય નહીં – એક પથરો પણ નહીં, કે ઘાસની એક પત્તી પણ નહીં. અને ધૂમ્રપાનની તો અહીં વાત પણ ના કરાય.
અહીંથી હવે અમારે બે કલાકનું ચાલવાનું હતું. પરિસરને જોતાં જોતાં, કાઇયેટ્યર ધોધની પાસે જવાનું હતું. જૂથમાંનાં એક-બે જણને ચિંતા થયેલી, કે ચલાશે આટલું બધું. આમ તો, બહુ ચઢવા-ઊતરવાનું નહતું, પણ પ્રાચીન પાષાણોમાંથી બનેલા નાના પથરા જડેલી કેડી તદ્દન સપાટ તો નહતી જ.
સારું એ હતું, કે કેડી પહોળી હતી, એના પર કોઈ ઝાડ-ઝાંખરાં નહતાં, અને ચાલતાં ચાલતાં કોઈ વનસ્પતિને અડકવું નહતું પડતું. અહીં અમુક છોડ ઝેરી હોય છે. રૉમૅલે એવા છોડ બતાવ્યા. એવા કાર્નિવોરસ પ્લાન્ટ જીવજંતુ તેમજ માખી-મચ્છરોને ખાઈ જતા, કે મારી નાખતા હોય છે. આ કારણે અહીં મચ્છરોનો ઉપદ્રવ નહતો, અને એની દવા હાથ-પગ ને કપડાં પર છાંટવાની જરૂર નહતી.
અમે ચાલવા તો માંડેલાં, પણ સૂર્ય અનહદ ઉગ્ર હતો. એનો તાપ અત્યંત તીવ્ર હતો. પાછળથી એનાં તપ્ત કિરણોનાં તીર છૂટતાં હતાં. પીઠ પર જાણે અંગારા ચંપાતા હતા. કપડાંની નીચેથી ત્વચા બળતી હતી. બેએક જણે માથે ટોપી પણ નહતી પહેરી. ચિંતા થાય, કે રખેને એમને મૂર્છા આવી જાય.
આવી શરૂઆત થઈ, તે પછી થોડી વારે કેડી અમને જંગલની અંદરના ભાગમાં દોરી ગઈ. ત્યાં કૈંક રાહત મળી. નજીક આવી ગયેલી વનસ્પતિની વચમાંથી જતા પથ ઉપર વૃક્ષોની ઘટા બનતી હતી. હવે તડકો અને છાંયો વારાફરતી આવતા રહેતા હતા.
આ ભાગમાં ચાલતાં સંભાળવું તો પડતું જ હતું. આખા પથ પર થઈને, આસપાસનાં સદીઓ જૂનાં વૃક્શોનાં લાંબાં, જાડાં, મૂળિયાં વળ ખાતાં પડ્યાં હતાં. જાણે જંગલની જમીનની અસંખ્ય નસો નીકળી આવી હતી. ડાળી-પાંદડાંનાં છત્ર નિરાંત આપતાં હતાં, અને લાગતાં હતાં પણ સારાં, છતાં, પગને ઠોકર ના વાગે તે જોઈ-સાચવીને તો ચાલવું જ પડતું હતું.
હજી ધોધથી થોડે દૂર જ હતાં, ને પછડાતાં પાણીનો ઘુઘવાટ સંભળાવા લાગેલો. હવામાં ભીનાશ પણ વર્તાવા માંડી હતી. બસ, હજી થોડું વધારે આગળ જવાનું હતું.
કાઇયેટ્યર મહાપ્રપાત દૃશ્યમાન થયો ત્યારે એને ત્રણ રીતે જોવા પામ્યાં. પહેલાં તો દૂરથી દેખાયો, પછી ઘણે પાસે પહોંચીને જોયો, અને એક તરફની ભેખડ પર જઈને એને જરા ઊંચેથી પણ જોયો. પાણી જોરથી પછડાતું હતું, પોતાના જ નિમ્નગામી વેગથી બનતી કૃદ્ધ શીકરો છેક ઉપર તરફ ઊઠતી હતી, ને તે કારણે, આ મુખ્ય ધોધ ૨૨૬ મિટર ઊંચો છે છતાં, એ પરિમાણ તો નજરે જ નથી ચઢતું.
ઉપરવાસમાં, નદીનું વહન ધીમું છે, અને તટ કૈંક છીછરો હશે, કારણકે એમાં ઘાસનાં અનેક ઝુંડ બનેલાં હતાં. ઘણાં ટટ્ટાર ઊભેલાં હતાં, તો કેટલાંકની લાંબી, લીલી પત્તીઓ આડી થઈ ગયેલી હતી. જાણે પાણીમાં લહેરાતી હતી. ને ત્યાં તો જોયું એક મેઘધનુષ્ય પણ.
હવે જાણે ત્રણ ઇન્દ્રિયોને પરમ સુખ મળ્યું હતું. પ્રપાતનો રવ કર્ણપ્રિય હતો, ઊડી આવતી ભીનાશ સ્પર્શપ્રિય હતી, અને મેઘધનુષ્યનું સૌંદર્ય ચક્ષુપ્રિય હતું.
ક્રમશઃ
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
નશીલા પીણા કે પદાર્થનું સેવન કરવું નુકસાનકારક છે, અમુક સ્થળે તે ગેરકાનૂની છે, છતાં આખરે તે સ્વૈચ્છિક તેમજ વ્યક્તિગત બાબત છે. તમાકુનું વિવિધ પ્રકારે સેવન સ્વાસ્થ્યને ઘણું નુકસાન કરે છે, અને આ હકીકત હવે અતિશય જાણીતી થઈ ચૂકી છે. સિગારેટ, બીડી કે ગુટખાનાં પડીકાં પર કેન્સરની ચેતવણી અને ભયજનક ચિત્ર જે તે બ્રાન્ડના નામ કરતાંય મોટું મૂકાયેલું જોવા મળે છે. આમ છતાં, કોઈ ચાહીને તેનું સેવન કરવા ચાહે તો એ રોકી શકાય એમ નથી, કેમ કે, છેવટે એ વ્યક્તિગત પસંદગીનો મામલો બની રહે છે.
અલબત્ત, તમાકુ અને તેની પેદાશોને ખલનાયક ચીતરવામાં આવતા રહ્યા છે, તેના સેવન અને વેચાણ પર વિવિધ પ્રકારે પાબંદીઓ મૂકવામાં આવે છે, છતાં તેના ઉત્પાદનને નિયંત્રિત કરવા બાબતે કશું વિચારાતું નથી એ નવાઈ કહેવાય. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મોટેરાં તમાકુનું વિવિધ સ્વરૂપે સેવન કરતાં હોય છે, અને એમનું જોઈને નાનેરાં એ માર્ગે વળે છે. છતાં દરેક કિસ્સે આમ ન પણ હોય. મુખ્ય વાત એ છે કે તમાકુની પેદાશોનું સેવન નુકસાનકારક હોવાની સાથોસાથ ખર્ચાળ પણ છે. એ ખર્ચાળ હોવાને કારણે પરિવારના માસિક આયોજનમાં તેની પ્રાથમિકતા કેટલી છે એ જાણવું જરૂરી છે.
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
કેન્દ્ર સરકારના સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા પ્રકાશિત આંકડા જોવા જેવા છે. આ મંત્રાલય અંતર્ગત વર્ષ ૨૦૨૩ – ૨૪ દરમિયાન ‘નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ’ (એન.એસ.એસ.ઓ.) દ્વારા ઘરેલુ ખર્ચનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. એમાં જણાયું કે વિભિન્ન રાજ્યોમાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પાન, તમાકુ અને અન્ય માદક પદાર્થો પાછળનો ખર્ચ ઘરેલુ ખર્ચના પાંચથી નવ ટકા જેટલો હોય છે. કઠોળ, ફળ અને ક્યારેક તો આ પ્રમાણ દૂધના ખર્ચ કરતાં પણ વધુ હોય છે. શહેરી વિસ્તારોમાં આ પ્રમાણ ઓછું હોય છે, પણ મોટે ભાગે તે કઠોળ પાછળ કરાતા ખર્ચને ઓળંગી જાય છે.
અલબત્ત, આ નવું નથી. અગાઉ એન.એસ.એસ.ઓ. દ્વારા વર્ષ ૧૯૯૯-૨૦૦૦ દરમિયાન કરાયેલા અભ્યાસમાં આ પ્રમાણ ભારતભરમાં દસ ટકા જણાયું હતું. સાદી ભાષામાં કહીએ તો લોકો પોષક ખાદ્ય ચીજો કરતાં વધુ ખર્ચ આવા માદક દ્રવ્યો પાછળ કરતા જણાયા.
આનો એક અર્થ એ થઈ શકે કે ખર્ચ કરનારાઓ પસંદગીપૂર્વક પોષક આહારને બદલે માદક દ્રવ્યો પાછળ ખર્ચ કરે છે. સવાલ એ પરવડવાનો નથી, પણ પ્રાથમિકતાનો છે. ૧૯૯૦ના દાયકામાં એવું જોવા મળેલું કે ઘરેલુ ખર્ચનો મોટો હિસ્સો અનાજ પાછળ ખર્ચાતો. એ પછીના સમયમાં તે તમાકુ જેવા માદક દ્રવ્યો પાછળ ખર્ચાતો થયો છે, જે નથી આહાર કે નથી આપતો કશું પોષણ. તેનાથી મળે છે ફક્ત ને ફક્ત જીવલેણ રોગ. લોકો નાણાં ખર્ચીને પીડાદાયી મૃત્યુ ખરીદે છે એમ કહી શકાય.
આમ થવા પાછળનું કારણ શું? પહેલી અને પ્રાથમિક વાત એ કે આને લોકોની આર્થિક સમૃદ્ધિ કે વધેલી ખરીદશક્તિ સાથે સાંકળી લેવાની જરાય જરૂર નથી. શ્રમિક વર્ગના કામ કરવાની બદલાયેલી પરિસ્થિતિઓ તેના માટે ઘણે અંશે જવાબદાર છે.
‘એડવાન્સ્ડ સ્ટડીઝ ઈન કોમ્પ્લેક્સ ચોઈસીસ’ (આઈ.એ.એસ.સી.સી.)ના સભ્ય અનિલ સૂદના જણાવ્યા અનુસાર શારિરીક શ્રમના કામમાં તમાકુનું સેવન એક મહામારીની જેમ વ્યાપેલું છે. નિવાસી સમુદાયોમાં આ વલણ દાયકાઓથી જોવા મળતું આવ્યું છે. યોગ્ય વિરામ વિના લોકો બારથી ચૌદ કલાક કામ કરે છે, જાગતા રહે છે અને ઢસડ્યે રાખે છે. આ પ્રક્રિયામાં તેઓ ખોરાકની અવેજીમાં અન્ય માદક પદાર્થના શરણે જાય છે. સૂદે એમ પણ જણાવ્યું કે આ વલણ વિવિધ કાર્યક્ષેત્રો અને વયજૂથોમાં વ્યાપક રીતે જોવા મળે છે. ચાહે એ બાંધકામ ક્ષેત્રના કામદારો હોય, ડેરીઉદ્યોગના હોય કે ટેક્સી ડ્રાઈવરો હોય. અઢાર- ઓગણીસ વર્ષના યુવાનો સુધ્ધાં આ કુટેવને અન્યો પાસેથી ગ્રહણ કરી લે છે. તેઓ માને છે કે આનાથી તેમને ઊર્જા મળે છે. એક વાર શરૂ થઈ ગયા પછી આ આદત ભાગ્યે જ છૂટે છે.
શહેરી વિસ્તારોમાં ધુમ્રપાનનું પ્રમાણ ઘટ્યું છે, પણ તમાકુનું સેવન વધી રહ્યું છે. ખાસ કરીને શહેરમાં આવેલા સ્થળાંતરિત શ્રમિકો આ આદતને ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરોમાં લાવે છે. સૂદના જણાવ્યા અનુસાર શહેર હોય કે ગામ, આદત એટલી જ નુકસાનકારક બની રહે છે.
આપણા દેશની તમાકુ નિયંત્રણ નીતિમાં સિગારેટ પર નિયંત્રણ વધુ જોવા મળે છે, જ્યારે ધુમ્રવિહીન પદાર્થો, જેવા કે તમાકુ, પાનમસાલા કે અન્ય સ્થાનિક પદાર્થો સુલભ અને સસ્તાં હોય છે. તેમની પર નિયંત્રણ ખાસ હોતું નથી. વિચિત્ર બાબત એ પણ છે કે વારેવારે જી.એસ.ટી.ના વધારા પછી પણ આ સેવન ઘટ્યું નથી, જે સૂચવે છે કે ભાવવધારો પણ સેવનને રોકી શકતો નથી. બારથી ચૌદ કલાક કામ આકરું શારિરીક કામ કરવાનું હોય એવી સ્થિતિમાં ભલે કામચલાઉ ધોરણે, પણ તમાકુ કે અન્ય માદક પદાર્થો જાણે કે ઔષધિનું કામ કરે છે. તેનાથી થતી લાંબા ગાળાની નુકસાનકારક અસરો વિચારી શકાય એવી એ કામદારોની માનસિક કે આર્થિક સ્થિતિ હોતી નથી.
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
આપણી પોષણ નીતિ મુખ્યત્વે અનાજ દ્વારા મળતી કેલરી પર કેન્દ્રિત છે. પ્રોટિન તેમજ અન્ય સૂક્ષ્મ પોષક દ્રવ્યની ઉણપ એમની એમ રહે છે. આ અભ્યાસમાં જાણવા મળે છે કે આવક વધે તો પણ ઘરના ખર્ચનો હિસ્સો તમાકુમાંથી અન્ય પોષક દ્રવ્યો તરફ ફાળવાતો નથી. મતલબ કે સ્વાસ્થ્ય નીતિ અને પોષણ નીતિ રેલવેના બે પાટાની જેમ, એકમેક સાથે કશી લેવાદેવા વિના કામ કરે છે. આ બાબતે સરકાર જ્યારે વિચારે ત્યારે, એક નાગરિક તરીકે આપણે સૌએ વિચારવા જેવું છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨ – ૨– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
પહેલી દીકરીનો જન્મ થયો ત્યારે અનંતભાઇ અને ધરાબેને અંતરના વહાલથી દીકરીને પોંખી હતી. એ પછી બે વરસે પુત્ર ફેનિલ આવ્યો અને એક પૂર્ણ કુટુંબની વ્યાખ્યા પૂરી થઇ.
વિધિ કે ફેનિલ ભાઇ બહેનના ઉછેરમાં કોઇ ભેદભાવ તેમણે નહોતો રાખ્યો. બલ્કે વિધિ તો કાલ સવારે પારકી બનીને ઉડી જશે..એવા વિચારે વધારે લાડથી રાખી હતી.
નસીબજોગે દીકરા કરતા દીકરી ભણવામાં વધારે હોંશિયાર નીકળી. થોડી ઘણી આર્થિક તકલીફ વેઠીને પણ સારા માર્કસ આવવાથી અનંતભાઇએ દીકરીને મેડીકલમાં મોકલી. દીકરો ગ્રેજયુએટથી આગળ વધી ન શકયો. ભણવામાં તેને ખાસ રસ ન જ જાગ્યો. વિધિ ડોકટર બની અને ફેનિલને એક બેંકમાં કલાર્ક તરીકે નોકરી મળી ગઇ.બંને ભાઇ બહેનના લગ્ન કરી માતાપિતાએ હાશકારો અનુભવ્યો. સંસારની બધી જવાબદારીઓ હવે પૂરી થઇ હતી. સદનસીબે વહુ પણ સારી મળી હતી. ખાસ કોઇ તકલીફ નહોતી. બહું પૈસા નહોતા પણ રોજિંદો જીવનનિર્વાહ ચાલી જતો હતો. પુત્રી વિધિ હવે લાખોમાં ખેલતી હતી. તેનો પતિ પણ ડોકટર હતો અને બંનેની પ્રેકટીસ સરસ ચાલતી હતી. તેના પતિ ઉમંગનો સ્વભાવ પણ ખૂબ સારો હતો. દીકરીનું સુખ જોઇ માતા પિતા હરખાતા રહેતા હતા.
ફેનિલના દીકરાને જનોઇ આપવાની હતી. તેથી વિધિ પિયર આવી હતી. આમ તો તે ખાસ આવતી નહીં..આવે ત્યારે પણ એક દિવસથી વધારે રોકાતી નહીં. શ્રીમંત પુત્રીને હવે અહીં થોડા અગવડવાળા ઘરમાં ફાવતું નથી. માતા સમજી જતી. પરંતુ શું બોલે ? અને વિધિ તો કહેતી રહેતી., ’ ફેનિલ, આવા ઉનાળામાં તમે બધા રહો છો કેમ ? માણસ એકાદ એ.સી. તો વસાવી લે.’
ફેનિલ કશું બોલતો નહીં. વિધિ ભૂલી જતી કે પોતે પણ આ ઘરમાં જ મોટી થઇ છે. અને ભાઇની સામાન્ય નોકરી,માતા પિતાની જવાબદારી આ બધામાં એ.સી. કે એવી કોઇ સગવડ તેને પોસાય તેમ નથી. બહેન આ બધું જાણતી જ હતી. અને છતાં ભાઇના ઘરમાં પોતાને કઇ ક ઇ અગવડ પડે છે અને ભાઇના ઘરમાં શું નથી..એ એક કે બીજી રીતે બતાવતી રહેતી. વિધિની વાત કોઇને ગમતી તો નહીં..પરંતુ દીકરી બે દિવસ આવી છે એમાં એને કયાં કહેવું ? એવા વિચારે બધા મૌન રહીને સાંભળી લેતા.
વિધિ આવે એટલે ઘરમાં ટેંશન વધી જાય. તેની પુત્રીને અમુક વસ્તુ જ ગમે અને અમુક વસ્તુ જ ભાવે..એ બધાનું ધ્યાન રાખવામાં જો જરાક પણ ચૂક થાય તો ભાભીનું આવી જ બને. એક બે દિવસ પણ મારી દીકરીને તમારાથી નથી સરખી રીતે નથી સાચવી શકાતી ?ભાભી સારી હતી..તેથી સાંભળી લેતી. મનમાં ગુસ્સો તો બહું આવતો. પણ ચૂપ રહેતી. વિધિ આવે એટલે ઘરનું બજેટ પણ ડામાડોળ થઇ જાય.’ જો, ફેનિલ, મારા ઘર પ્રમાણે તારે વહેવાર કરવાનો..તારું ખરાબ ન લાગે એટલે કહું છું. બાકી મને કંઇ તારા પૈસાની પડી નથી. મારે કોઇ જરૂર નથી. પણ મારો ભાઇ સાધારણ છે એવું કોઇ કહી જાય એ મને ન ગમે. અને બહેનનો વહેવાર સાચવવા ભાઇને કયારેક કોઇ પાસેથી ઉધાર પૈસા પણ લેવા પડતા. વિધિ આવે ત્યારે ભાઇના દીકરા માટે મોંઘા કપડાં ને મોંઘી વસ્તુઓ અચૂક લાવે. પણ પછી કહેવાનું ન ચૂકે ‘ મારે તો હજુ ઘણું લાવવું હતું. પણ પછી પાછું વાળવામાં ભાઇ બિચારો તણાઇ જાય ને ? બહેનનું રાખીને બેસી તો ન રહેવાય. નકામું તમારે બમણું કરીને આપવું પડે. એટલે હું જ વધારે નથી લાવતી.’
આ વખતે તો જનોઇનો પ્રસંગ હતો. વિધિ ભાઇના દીકરા માટે સોનાનો ચેન લાવી હતી. ફેનિલ ગભરાયો. હવે બહેનને પોતે પાછું કેવી રીતે વાળી શકશે ? તે મા સામે જોઇ રહ્યો. મા દીકરાની મૂંઝવણ સમજી ગઇ. તેણે ધીમેથી પુત્રીને કહ્યું. ’ વિધિ, તું ભત્રીજા માટે હોંશથી લાવી એ સારું કર્યું. પણ બેટા, તારે અમારા ઘર પ્રમાણે જ લાવવું..તારા ઘર પ્રમાણે નહીં. અમારાથી તારા ઘરના મોટા વહેવાર નહીં સચવાય. દીકરી, તું ડોકટર બની છે. તારો ભાઇ એક કલાર્ક છે. એ યાદ રાખજે.
ફેનિલ, વિધિનો ચેન પાછો આપી દે. વિધિ, શુકનનો સવા રૂપિયો ભત્રીજાને પ્રેમથી આપી દેશે. અમારે તો પ્રેમની જ કીમત છે. ‘ ફેનિલે ચેન બહેનના હાથમાં લંબાવ્યો. વિધિ શું બોલે ?
લગ્ન એ માનવીના જીવનની સૌથી વધુ અગત્યની ઘટના છે. ૭૫ વર્ષનું આયુષ્ય મળ્યું હોય એવા પરિણીત સ્ત્રી અને પુરુષ આશરે ૫૦-૫૫ વર્ષ સુખ-દુઃખમાં પરસ્પરનાં સાથી તરીકે રહે છે, જીવે છે. આમાંથી થોડાં જ યુગલ એવાં હોય છે કે જેમનો સંસાર સદા-સર્વદા સુખી, અને પરસ્પરના સ્નેહથી ઉભરાતો હોય છે, એમ છતાં પાછલા આશરે ચાર-પાંચ હજાર વર્ષથી ’પતિ-પત્ની અને બાળકોવાળું કુટુંબ’ એ માનવ સમાજનું મુખ્ય ઘટક રહ્યું છે. સ્ત્રી-પુરુષની જોડી વિનાનું કુટુંબ અને એવા કુટુંબ વિનાનો સમાજ હજી સુધી તો આપણી કલ્પનામાં નથી.
એ જ અગત્યની ઘટના અમારા જીવનમાં પણ બની અને ૬ જુન ૧૯૭૧ના દિવસે શૈલા અને હું લગ્નવિધિથી જોડાયાં. અમારાં લગ્ન ’આયોજિત’ હતાં. પહેલાં બંનેનાં કુટુંબથી પરિચિત અને હિતેચ્છુ એવા સંબંધીએ અમારાં વડીલો પાસે દરખાસ્ત મૂકી, પછી અમે બંને બે વખત રૂબરૂ મળ્યાં અને પરસ્પર માટે અમારી પસંદગી જાહેર કરી. એ દિવસોમાં શૈલા વડોદરામાં અને હું દુર્ગાપુરમાં હતો એટલે લગ્ન પહેલાં એથી વધારે વાર મળવાનું શક્ય ન હતું. આમ અમારો પ્રત્યક્ષ પરિચય ખૂબ ઓછો હતો. પણ પત્રદ્વારા અમે એકબીજાનાં સંપર્કમાં રહ્યાં. એ છ મહિનામાં અમે દર અઠવાડિયે અરસપરસને એકથી વધુ પત્રો લખતા. શૈલાનાં પત્રોમાંથી મને એનું જે વ્યક્તિત્વ દેખાયું એ પ્રત્યેક ક્ષણે જીવન માણવા ઇચ્છતી, એક અતિશય ઉલ્લાસ અને ઉત્સાહથી ઊભરાતી નવયૌવનાનું હતું. એ એટલું યથાર્થ હતું કે આશરે ત્રીશ વર્ષ પછી અમેરિકામાં અમારા એક મિત્રે શૈલાનું નામ “ઉત્સાહમૂર્તિ” પાડ્યું! એ સમયમાં દૂર દુર્ગાપુરમાં હું એકલો હોવા છતાં ખૂબ ખુશ હતો.
લગ્નપ્રસંગે મેં કરેલી બે વાત મને બરાબર યાદ રહી ગઈ છે. જૂના જમાનાથી મરાઠી સમાજમાં પ્રચલિત, માંડવામાં જ પતિ પોતાની પત્નીનું નામ બદલી એને નવું નામ આપે, એવો એક બેહૂદો રિવાજ છે. પુરુષપ્રધાન સંસ્કૃતિનું એ એક વરવું ઉદાહરણ છે જેમાં લગ્ન પહેલાંનું સ્ત્રીનું અસ્તિત્વ સંપૂર્ણપણે મીટાવી દેવાની ઘેલછા રહેલી છે. મેં એ રિવાજ અનુસાર શૈલાનું નામ બદલી ’શીલા’ કર્યું હતું. સાહજિક જ શૈલાને એ માટે બહુ માઠું લાગ્યું હતું. જ્યારે એણે અમેરિકન નાગરિકત્વ અંગીકાર કર્યું ત્યારે શૈલાને મારી એ ભૂલ સુધારવાની તક મળી અને તેણે એનો યોગ્ય ઉપયોગ કર્યો. તે દિવસથી કાયદેસર રીતે ’શીલા’ પાછી ’શૈલા’ બની. બીજું એટલે લગ્ન પ્રસંગે મને કશુંક સારું કરવાની મળેલી તકનો મેં ઉપયોગ ન કર્યો એ વાત. શૈલાના બાળપણમાં જ એના પિતાજીનું અવસાન થયેલું, પરિણામે અમારાં લગ્ન વખતે એનાં બા વિધવા હતાં. મારાં એક માશી પણ ’બાળવિધવા’ હતાં. અમારા લગ્ન હિંદુ વિધી પ્રમાણે થયાં હતાં. ત્યારે મારે આગ્રહપૂર્વક એમ કહેવું જરૂરી હતું કે વિધી શૈલાનાં બા અને મારાં માશી કરે. આજે તો કદાચ આવું બનવું સામાન્ય હશે પણ અમારા લગ્ન સમયે એવું ન હતું. એ વખતે મેં એમ કર્યું હોત તો એ બે સ્ત્રીઓની જીવનભરની તપસ્યાની કદર થઈ હોત. મારા માટે મારાં માશી અને શૈલાને માટે એનાં બા જેટલું હિતેચ્છુ અન્ય કોઇ ન હતું. અફસોસ, મને એમ કરવાનું ન સૂઝ્યું.
અમારાં લગ્ન પ્રસંગે નીરખેલો એક મરાઠી રિવાજ મને ખૂબ ગમ્ય઼ો છે. લગ્ન પછી પહેલી જ વાર શૈલા અમારાં ઘરમાં પ્રવેશી ત્યારે બારણામાં ચોખા ભરેલો એક પ્યાલો મૂક્યો હતો. રિવાજ પ્રમાણે શૈલાએ એને પગથી ઠોકર મારી ચોખા ઢોળી નાખવાના અને મારાં ભાભી (શૈલાનાં જેઠાણી) એ ચોખા પાછા પ્યાલામાં ભરી દે. શૈલાએ અને નીલાભાભીએ આ વાત બે-ત્રણ વાર કરી અને પછી શૈલાએ ગૃહપ્રવેશ કર્યો. આ રિવાજમાં સૂચન એ છે કે અમારાં ઘરમાં પહેલી જ વાર આવનાર યુવતી ભૂલ તો કરશે પણ અમે – ઘરના વડીલો – એ ચલાવી લઈશું, એને સુધારી લઈશું અને સંભાળી લઈશું. આવા સરસ, અર્થપૂર્ણ, રિવાજનું આપણાં આખા સમાજમાં પાલન થતું હોય તો કેવું સારું? સાસુ-વહુનાં સંબંધો કેટલાં મીઠાં બની જાય!
આપણાં હિંદુ લગ્ન વિષે એક વધુ વાત અહીં નોંધવી છે. લગ્નવિધી ચાલતી હોય ત્યારે પ્રેક્ષકોનું વર્તન કેમ તદ્દન બેશિસ્ત હોય છે? એકાદ કલાકની વિધી દરમિયાન પણ આપણે શાંત અને સ્વસ્થ બેસી પ્રસંગની આમન્યા કેમ જાળવી નથી શકતા? અમેરિકા આવ્યા પછી મેં જોયું કે આપણે જ્યારે ક્રિશ્ચીયન વિધીથી ચર્ચમાં થતાં લગ્નમાં હાજરી આપીએ ત્યારે ચૂપચાપ બેસી પ્રસંગની ગરિમા જાળવીએ છીએ. તો, એવી જ શિસ્ત આપણે આપણાં લગ્ન પ્રસંગે કેમ નથી જાળવી શકતાં?
શૈલા મારા જીવનમાં પ્રવેશી અને એકાદ અઠવાડિયામાં મને ભાવનગરમાં નવા શરૂ થતા એક ’મિનિસ્ટીલ પ્લાન્ટ’માં લગભગ બમણા પગારની નોકરી મળી !! આ કદાચ કાકતાલીય ન્યાય હશે. પણ અમારાં ઘરમાં સહુએ શૈલાને શુકનવંત કહી ખૂબ ખુશી વ્યક્ત કરી. અમારા ઘરથી દુર્ગાપુર ૧૧૦૦ માઈલ દૂર હતું. ભાવનગર અમારે મન ઘરસમાન હતું. મારો સ્ટીલ ઇન્ડસ્ટ્રીના કામનો અનુભવ લેખે લાગ્યો હતો. મેં તરત જ એ નોકરી સ્વીકારી અને શૈલા અને હું અમારું પહેલું ઘર વસાવવા ભાવનગર પહોંચી ગયાં.
એ પછીના સાત વર્ષ અમે ભાવનગરમાં ગાળ્યાં. ખાનગી માલિકીની – એકાદ વ્યક્તિ જ જેની માલિક હોય અને બધો કારભાર ચલાવતી હોય એવી – કંપનીમાં કામ કરવાનો આ મારો બીજો અનુબવ હતો. આવી કંપનીને ’માલિકની મરજી’ એ એક માત્ર ’કલ્ચર’ હોય છે. તન તોડી નાખે એવું કામ અને સાથે એવો જ સારો પગાર, અને જો તમે શેઠની મરજીમાં આવી જાવ તો તો ઘી-કેળાં. અમેરિકા આવવા પહેલાં ભારતમાં મેં ત્રણ જગ્યાએ થઈ કુલ ૧૪-૧૫ વર્ષ આવી ખાનગી કંપનીમાં કામ કર્યું. બધે લગભગ આવો જ અનુભવ થયો વફાદારીને ખૂબ કિંમત પણ નીતિમત્તાનો ખાસ ભાવ નહીં. મહેનતુ, સાહસી, ખંતીલા, પણ સાથેસાથે જ જરા ’જાડી ચામડીવાળા’ લોકો આવા વાતાવરણમાં ખૂબ ખીલી ઊઠે. આવી જગ્યાએ હું આટલો સમય શી રીતે ટકી શક્યો એ મારે મન એક કોયડો છે. એ બધા વર્ષોમાં મને કામ અંગે ભારતભર ખૂબ ફરવા અને જોવા-જાણવા મળ્યું.
ભાવનગર એ સોનગઢ કરતાં ખાસું મોટું પણ અમદાવાદ કરતાં ઘણું નાનું અને જૂની વિચારસરણીવાળું શહેર છે. આઝાદી પહેલાં ભાવનગર એક સંસ્થાન હતું અને એ સમયનું સ્મરણ કરાવે એવાં અવશેષો ત્યાંની પ્રજાની રહેણીકરણીમાં હજી પણ મોજુદ હતાં.
અમે ભાવનગર હતાં એ દરમિયાન શૈલાને ફ્રાન્સ અને મને અમેરિકા ફરવા જવાની સરસ તક મળી જે અમે બંનેએ ઝડપી લીધી. ૧૯૭૪માં શૈલા અને હું એક “ફ્રૅન્ચ ઇન્ટરનૅશનલ ઍક્સચેન્જ ગ્રુપ”માં જોડાયાં અને ભાવનગરમાં પહેલીવાર પાંચ ફ્રૅન્ચ પરોણાં આવ્યાં અને અમારી સહિત પાંચ કુટુંબમાં એકએક જણ ત્રણ અઠવાડિયા રહ્યાં. અમારા બધાં માટે એ એક સાવ નવતર અને ખૂબ આહ્લાદક અનુભવ હતો. ત્યારથી, ૧૯૮૩માં ભારત છોડી અમેરિકા આવ્યાં ત્યાં સુધી અમે બંને એ પ્રવૃત્તિ સાથે પૂરા ઉત્સાહથી જોડાયેલાં રહ્યાં. એના જ નેજા હેઠળ ૧૯૭૬માં શૈલાને એક મહિના માટે પેરિસ સહિત ફ્રાન્સના જુદા જુદા ભાગમાં રહેવા-ફરવાની સુંદર તક મળી. એ પ્રવૃત્તિને કારણે અમારે કેટલાંક ફ્રૅંચ કુટુંબ સાથે જે મૈત્રી થઈ છે એ આજે પચાસ વર્ષ પછી પણ ખૂબ ઘનિષ્ટ છે. ૧૯૭૬માં ’ગ્રુપ સ્ટડી ઍક્સચેન્જ’ નામના રોટરી ક્લબના એક પ્રોગ્રામના સભ્ય તરીકે ભાવનગર રોટરી ક્લબ તરફથી મારી પસંદગી થઈ અને બે મહિના માટે મને અમેરિકાના ’વેસ્ટ વરજિનીયા’ રાજ્યમાં જુદાજુદા કુટુંબ સાથે રહેવા મળ્યું. આ બંને પ્રવાસ પછી અમને એક ખાતરી થઈ કે દુનિયા ઘણાં બધાં સજ્જન, પ્રમાણિક, અને શાંતિપ્રિય માણસોથી ભરેલી છે.
મારા અમેરિકાના પ્રવાસ માટે ’વિઝીટર વિસા’ મેળવવો જરૂરી હતો અને એ કરતાં એક અણધાર્યો અનુભવ થયો. અમારી ટીમ માટે વિસા મેળવવાનું કામ જે ’ટ્રાવેલ એજન્સી’ કરતી હતી એણે મને જણાવ્યું કે મારા સિવાય બધાને વિસા મળી ગયો છે પણ મુંબઈના કૉન્સલ મને પ્રત્યક્ષ મળવા માગે છે. એ મુલાકાતમાં મને કૉન્સલેટના અધિકારીએ જણાવ્યું કે દસ વર્ષ અગાઉ મેં કરેલી ’ઇમિગ્રેશન વિસા’ની અરજી એમના દફતરમાં હજી ’ખુલ્લી’ છે એટલે તેઓ મને વિઝીટર વિસા નહીં આપી શકે; પણ હું જો વિઝીટર વિસાની અરજી રદ કરું તો તેઓ મને તરત જ ઇમિગ્રેશન વિસા આપશે. એવી અરજી કર્યાનું મને તો યાદ પણ ન હતું! મેં કહ્યું, “ઇમિગ્રેશન વિસાની અરજી રદ કરી મને વિઝીટર વિસા આપો.” પેલા અધિકારી આશ્ચર્યથી મારા સામે જોઇ રહ્યા. આ ૧૯૭૮ની વાત હતી જ્યારે ’ઇમિગ્રન્ટ’ તરીકે અમેરિકા જવા લોકો એક પગે તત્પર હતા. અધિકારીએ મને બે વાર પૂછ્યું, “તમે ખરેખર મને તમારી ઇમિગ્રેશન વિસાની અરજી રદ કરવા કહો છો?” મેં બંને વાર સ્પષ્ટ ’હા’ કહ્યું. ખૂબ આશ્ચર્ય સાથે એમણે મને એક જગ્યાએ સહિ કરવા કહ્યું અને એ ફાઇલ ’ક્લોઝ’ કરી તરત જ મને વિઝીટર વિસા આપ્યો. આ આખો પ્રસંગ લખવાનાં બે કારણ છે. એક, આ પરથી ખ્ય઼ાલ આવે છે કે અમેરિકન સરકારનું ’પરદેશખાતું’ કેટલું બધું વ્યવસ્થિત અને ધોરણસર કામ કરે છે! બીજું, કે એ સમયે કાયમ માટે અમેરિકા જવાની મારી જરાપણ ઈચ્છા ન હતી. સદંતર વિરોધાભાસ એ છે કે પછીના માત્ર પાંચ જ વર્ષમાં અમે ભારત છોડી કાયમ માટે અમેરિકા રહેવા આવ્યાં.
ભાવનગરના અમારાં સાત વર્ષના રોકાણમાં અમને એક અતિશય સરળ સ્વભાવના, પરગજુ, અને ઉષ્માભર્યા દિલવાળા વડીલની શીળી છાંયમાં રહેવાનો મોકો મળ્યો. એમનું આખું નામ તો મૂળશંકરભાઈ મો. ભટ્ટ, પણ એમને નજીકથી ઓળખનાર સહુ ’ભાઈ” ના હુલામણા નામે સંબોધે. લગભગ અકિંચન હોવા છતાં ભાઈનું જીવન એવું ભર્યું-ભર્યું હતું કે એ દેખીને ભલભલાને અચંબો થાય. જાણે જીવન સાચી રીતે જીવવાની જડીબુટ્ટી એમને મળી ગઈ હતી. એમનું કે એમના જીવન સાફલ્યનું આથી વધારે શબ્દોમાં વર્ણન કરવા હું અસમર્થ છું. મારા કાકા શ્રી ભાસ્કરરાવ (ઉર્ફે અમારા દાદા) અને ભાઈ, એ બે વડીલો મારા જીવનમાં આવ્યા એ માટે હું પોતાને ધન્ય સમજું છું.
ભાવનગરમાં બે જૂની ઓળખાણ પાછી તાજી થઈ. એક મહેન્દ્રભાઈ મેઘાણી, અને બીજો મારો શાળાનો મિત્ર જીવરાજ સુતરિયા. ખોબો ભરીને ખારીશીંગ લઈ ચાવતા-ચાવતા રોજ સવારે મહેન્દ્રભાઈ અમારા ઘર પરથી ચાલીને ’લોકમિલાપ’ કામે જતા. આખો દિવસ કર્મયોગીની નિષ્ઠાથી મિલાપના કામમાં ડૂબેલા રહેતા. ’લોકોને સારું વાચન-સાહિત્ય પીરસવું’ એ એક માત્ર ધ્યેય પાછળ એમણે પોતાની આખી જિંદગી આપી છે. એક હાથલારીમાં પુસ્તકો ભરી એકાદ શાકભાજીવાળાની જેમ ઠેલતા ઠેલતા ભાવનરના મુખ્ય ચોકમાં જઈ તેઓ ત્યાં દિવસભર ઊભા રહેતા. વેચાણ તો કેટલું થતું હશે કોણ જાણે, પણ એમની લગનને સો-સો સલામ છે. રોજ પરોઢિયે ઊઠી ઘંટી પર બેસી આખા ઘરની લોટની જરરિયાત માટે તેઓ ઘઉં-બાજરી જાતે દળતા. ભાઉનો ૭૫મો જન્મદિન ઉજવવા અમે એમના કેટલાક મિત્રોને જમવા નોતરેલા એમાં મહેન્દ્રભાઈ પણ હતા. મહેન્દ્રભાઈએ મને કહ્યું, “તે દિવસના લાડવા માટે ઘઉંનો લોટ હું આપી જઈશ.” અલબત્ત એ લોટ એમણે જાતે દળેલો હતો! મહેન્દ્રભાઈ એક તપસ્વીનું જીવન જીવ્યા છે. આજે લગભગ ૧૦૦ વર્ષની વયે, અનેક શારીરિક વ્યથા વચ્ચે તેઓ સન્યસ્ત મનથી શરીરનો મોહ છોડીને બેઠા છે.
મેં ઉપર લખ્યું છે તેમ મારો મિત્ર જીવરાજ એક ફિલસૂફ છે. એણે મારી સાથે જ ઇન્ટર-સાયન્સની પરીક્ષા આપી અને ’પ્યૉર ફિઝીક્સ’માં પીએચ. ડી કર્યું ને અમે ભાવનગરમાં હતા ત્યારે જ ત્યાંની કૉલેજમાં પ્રોફેસર બન્યો. પણ એ જન્મજાત ખેડૂત અને એની રગેરગમાં ખેતીપ્રેમ ભરેલો હોવાથી ૩-૪ વર્ષમાં જ ’પ્રોફેસરગીરી’ છોડી એક વિશાળ વાડી વેચાતી લીધી અને આનંદથી ખેતી કરવા માંડ્યો. ત્યારથી આજે પચાસ વર્ષ પછી પણ તનથી અને મનથી એ ખેડૂત જ છે. અવારનવાર એની વાડી પર જઈ ઋતુ પ્રમાણે બોર, જમરૂખ, શેરડી આરોગવાનું શૈલા અને મારા માટે સામાન્ય બની ગયું છે. તે સમયથી અજવાળીભાભીએ જે પ્રેમથી અમને રાખ્યાં છે એ આજે પચાસ વર્ષ પછી પણ સતત ચાલુ છે. અજવાળીભાભીનો નિર્મળ પ્રેમ એટલે એમના હૃદયની આરસી. પરંતુ જીવરાજ સાથેની એ મુલાકાતો માત્ર મજા પુરતી મર્યાદિત ન હતી. પોતે જે દીર્ઘદૃષ્ટિથી ખેતી કરતો’તો એ જીવરાજ મને વિગતથી સમજાવતો. ખેડૂતને વૈજ્ઞાનિક સમજ કેવી રીતે આપી શકાય, એને સક્ષમ કેમ બનાવી શકાય, અને સમાજમાં એનું શોષણ થતું કેમ અટકાવી શકાય; એ વાતો હું જીવરાજ પાસેથી સમજ્ય઼ો. એની સાથેની ચર્ચામાં “માણસ દુઃખી કેમ થાય છે?” જેવા અટપટા પ્રશ્નોનાં જવાબ વિષે વિચારતો થયો. દુનિયાના કેટલાક મહાન તત્વચિંતકોના વિચાર મેં એની પાસેથી જાણીને સમજ્યા છે. એમાં જીવરાજની ખાસિયત એ કે એ આવા તત્વચિંતકોના પ્રગલ્ભ વિચાર રજૂ કરે ત્યારે માત્ર પોપટિયું જ્ઞાન નથી હોતું પણ સમજીને આત્મસાત કરેલી માહિતી હોય છે. મિત્રોની બાબતમાં હું સાચે જ નસીબદાર રહ્યો છું.
અમે ભાવનગર ગયાં અને તરત જ શૈલાએ ત્યાંની કૉલેજના આંકડાશાસ્ત્ર વિભાગમાં નોકરી મેળવી. એ વખતે એની ઉંમર આશરે ૨૨ વર્ષ હતી, ત્યારથી અમેરિકા આવ્યા પછી ૨૦૧૩ની સાલમાં નિવૃત્ત થઈ ત્યાં સુધી એણે કામ કર્યું. પોતાની વ્યાવસાયિક કારકિર્દી એ શૈલાનાં જીવનનો અગત્યનો, છતાં માત્ર એક ભાગ હતો. ભાવનગરનો નાનો પણ એકજૂથ મરાઠી સમાજ સાંસ્કૃતિક રીતે ખૂબ સમૃદ્ધ હતો. ગણપતિ-ઉત્સવના નાટકોમાં ભાગ લઈ શૈલાએ એમાં પોતાનું સ્થાન મેળવ્ય઼ું. સાથે જ અનેક નવી ઓળખાણ કરી અમારા કૌટુંબિક જીવનને ભર્યુંભર્યું બનાવ્યું. નીડરપણે પોતાનો મત રજૂ કરવામાં શૈલાને સંકોચ નથી થતો. એકવાર ભાવનગરની કૉલેજમાં વિદ્યાર્થીઓએ હડતાળ પાડી, તોફાન કર્યું, અને એક પ્રોફેસર પર ખુરશીનો ઘા કર્યો. આખરે સમાધાન થયું અને થોડા દિવસમાં ગુરૂપૂર્ણિમા આવી ત્યારે વિદ્યાર્થીઓએ ગુરૂજનોનું પૂજન કર્યું. એ પ્રસંગે શૈલાએ વિદ્યાર્થીઓને સંબોધી કહ્યું, “તમે અમારું પૂજન કરો એ સારી વાત છે. પણ તો પછી અમારામાંના એક પર ખુરશીનો ઘા કરો એ કેવું?” એ સાંભળી પ્રિન્સીપાલ સહિત ત્યાં હાજર હતા એ સહુ સ્તબ્ધ બની ગયા. દયાજનક વાત તો એ કે ખાનગીમાં પ્રિન્સીપાલે શૈલાને સલાહ આપી, “આપણે આવું ન બોલવું.” આવું હતું અમારું ભાવનગર!
૨૯મી મે ૧૯૭૪ના દિવસે અમારા દીકરા રણજિતનો જન્મ થયો; અમારા સંસારમાં પૂર્ણતા આવી અને સાથે જ એક નવું સોપાન ખુલ્યું. એને માટે નવાંનવાં કપડાં અને રમકડાં લાવવામાં શૈલાનો હરખ માતો ન હતો. “રણજિત અમારું એક માત્ર સંતાન છે.” એટલું કહું તો વાચક એના પ્રત્યેની અમારી લાગણી સમજી શકશે. સમય ઝટપટ પસાર થવા લાગ્યો અને અમારા ધ્યાનમાં આવે એ પહેલાં જ ત્યાંની ’કૉન્વ્હૅન્ટ સ્કૂલ’માં રણજિતનો અભ્યાસ શરૂ થયો. ત્યાંના ’પ્રિન્સ સ્ટુડિઓ’માં પડાવેલો રણજિતનો ફોટો આજે પણ મારા ડેસ્કની બાજુમાં છે. બાળપણમાં એને સંભાળનારાં, ગરીબ પણ અત્યંત પ્રેમાળ અને સરળ સ્વભાવનાં નંદકુંવરબાની ખાનદાની અમે બંને આજે પણ યાદ કરીએ છીએ.
૧૯૭૬માં અચાનક ખબર પડી કે દાદાને ’રૅક્ટમ’નું કૅન્સર છે અને એ ભાગ શસ્ત્રક્રિયા કરીને કાઢી નાખવો પડશે. એ ઑપરેશન મુંબઈની ટાટા હૉસ્પિટલમાં કરવાનું નક્કી કર્યું. એ પ્રસંગે દાદાની મદદમાં અને સારવાર માટે હું પણ એકાદ મહિનો ત્યાં રહ્યો. ઑપરેશન નિર્વિઘ્ન પાર પડ્યું, અને દાદા એ પછી આઠ વર્ષ તંદુરસ્તપણે જીવ્યા. એ માંદગી દરમિયાન દાદાની સેવા કરવાની મને તક મળી એ મારું મોટું સદ્ભાગ્ય હતું. ભાઉના કુટુંબ પર એમના એટલા બધા ઉપકાર છે કે એમ કહી શકાય કે એમના વગર અમે કોઇ કશું ન હોત. અહીં એક અગત્યની નોંધ કરી લઉં. હૉસ્પિટલમાં, પોતે જાણે ત્યાંના રાજા છે એવો ડૉક્ટરોનો રૂઆબ, અને અભિમાનભર્યું વર્તન કોઇપણ શિક્ષિત વ્યક્તિને છાજે એવું ન હતું. દરદીના પ્રશ્નોના એ લોકો જે ઉદ્દતાઈથી જવાબ આપતા એ જોઇ એમની અને દરદીની, બંનેની દયા આવે એવું હતું.
સાતેક વર્ષ પછી મારી પ્રગતિ માટે મેં નવી નોકરી મેળવી, અને અમે ભાવનગરથી વડોદરા સ્થળાંતર કર્યું. એ પછીના અમારાં પાંચ વર્ષ બહુ સરસ પસાર થયાં. વડોદરા શૈલાનું પિયર હોવાથી ત્યાં એનાં સગાં અને મિત્રોનો પાર ન હતો અને ત્યાંની ગલ્લીએ ગલ્લી એની જાણીતી હતી. બહુ ટૂંકા સમયમાં જ પોતે ભણી હતી એ કૉલેજમાં, પોતાના ક્ષેત્રમાં જ શૈલાને ’લૅક્ચરર’ની સરસ નોકરી મળી ગઈ. રણજીત હવે ચાર વર્ષનો થયો હતો અને અમે એને ’ભારતીય વિદ્યા ભવન્સ’ની શાળામાં ’ડે બોર્ડર’ તરીકે દાખલ કર્યો.
મારા કામનો પ્રકાર બદલાયો હતો. હવે હું ’માર્કેટીંગ એન્જિનીઅર’ તરીકે મોટી મોટી કંપનીને, જેમાં અનેક યંત્રો તથા પ્રક્રિયા સમાયેલાં હોય તેવા અટપટા ’પ્લાન્ટ્સ’ વેચવાનું કામ કરતો હતો. ભારતભર મારે ફરવું પડતું હતું તથા મહત્વના નિર્ણયો અને મોટી રકમના સોદામાં ભાગ લેવો પડતો હતો. આ બધું મને ખૂબ ગમતું હતું અને હું ઉત્સાહથી બધી દોડાદોડ કરતો હતો. પ્રવાસ દરમિયાન મને વાંચવાનો ભરપુર સમય મળતો, એથી મારો એ શોખ ખૂબ ફુલ્યોફાલ્યો. થોડો સમય બધું સરસ ચાલ્યું, પણ ધીમે ધીમે એક વાત મારા ધ્યાનમાં આવી કે આવા સોદામાં “એન્જિનીઅર” તરીકેના જ્ઞાન કરતાં “વહેવારુ” જ્ઞાનની જરૂર અને ઉપયોગ વધારે હતાં. શરૂના બે-ત્રણ વર્ષ તો મારે એ “વહેવારુ” ભાગ સંભાળવાનો ન હતો પણ સમય સાથે એ પણ મારી જવાબદારી બનવા માંડી. મારા માટે એ સાવ અજાણ્યો પ્રદેશ હતો અને એમાં વિચરતાં મને બહુ અકળામણ થતી હતી.
બાકી બધી વાતે વડોદરાનું જીવન અમારે ત્રણે માટે મજા જ મજા હતી. દિલચસ્પ મિત્રો અને મનગમતી પ્રવૃત્તિઓનો તોટો ન હતો. લગ્ન પહેલાં હું વડોદરામાં ત્રણ વર્ષ રહ્યો હતો એ સમયના દોસ્તો ફરી મળ્યા હતા. વડોદરામાં ગુજરાતી તેમ જ મરાઠી બંને ભાષી સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રેલમછેલ હતી. સ-રસ મરાઠી નાટકો અને શાસ્ત્રીય સંગીતનાં કાર્યક્રમ માણવાનું ત્યાં સહજ શક્ય હતું. આમ વડોદરામાં અમે બધી વાતે ખુશખુશાલ હતા.
૧૯૭૬ થી ’૮૦ એ ભાઉની છેલ્લી માંદગીના ચાર વર્ષ હતાં. એ વર્ષોમાં તેઓ સાવ પથારીવશ અને પરવશ રહ્યા અને દાદાએ લક્ષ્મણને ઈર્ષા આવે એવી નિષ્ઠાપૂર્વક એમની સેવા કરી. આશરે ૧૯૪૨-૪૩થી શરૂ થયેલું મરાઠી સાહિત્ય કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું એમનું કામ ૧૯૭૬ની માંદગી સુધી સતત ચાલ્યા કર્યું. એ વર્ષોમાં તેઓએ પચીસેક નવલકથા, પિસ્તાળીસ ઉપરાંત વાર્તસંગ્રહ, અને કેટલાક જીવન-વૃત્તાંત મળી કુલ ૭૬ પુસ્તકો અનુવાદીત કર્યાં. એમાંનો મોટાભાગનો સમય મેં ભાઉને એ પુરુષાર્થ કરતા ખૂબ નજીકથી નિહાળ્યા છે. એમાં મને કોઇ પણ ભગીરથ કામ કરનાર વ્યક્તિનાં એકાગ્રતા, ધગશ, શિસ્ત અને મનોનિગ્રહ જોવા મળ્યાં છે. અસ્તુ. આખરે ૨૩ મે, ૧૯૮૦ના દિવસે એ માંદગીમાંથી ભાઉને સદા માટે મુક્તિ મળી. આયુષ્યભર તેઓ અમારા સહુના પિતા તરીકે પોતાનાં જવાબદારી અને કર્તવ્ય નિભાવતા રહ્યા, અને ૩૭ વર્ષ સુધી સતત મને એમનો પ્રેમ, વાત્સલ્ય, અને હૂંફ મળતાં રહ્યાં. મને લાગે છે પિતા અને સંતાન વચ્ચેનો સંબંધ પિતા માટે ક્યારેક તલવારની ધાર પર ચાલવા જેવો કઠિન હોય છે. સંતાનનું હિત અને એની પ્રત્યેનો પ્રેમ, એ બે વચ્ચેની ખેંચતાણ પિતાને ક્યારેક કઠોર તો ક્યારેક કર્તવ્યચ્યુત બનાવતી હોય છે. અફસોસ એ વાતનો છે કે પિતાની આવી દ્વિધા સ્થિતિનું જ્ઞાન સંતાન પોતે જ્યાં સુધી પાલ્ય મટી પાલક નથી બનતું ત્યાં સુધી નથી આવતું! ભાઉ ગુજરી ગયા ત્યારે એમની સ્થાવર મિલકત બહુ ઓછી હતી. પણ મને એમની પાસેથી જે મળ્યું છે એનો અંદાજ લઉં છું ત્યારે ભાન થાય છે કે કુબેર જેવા પિતા પાસેથી પણ હું એટલું ન પામ્યો હોત.
ભાઉ ગયા ત્યારે શિશિરભાઈ અમેરિકા હતા. અમે એમને સમાચાર જણાવ્યા અને છ મહિના પછી તેઓ સહુને મળવા અમદાવાદ આવ્યા. બીજી વાતોની સાથે એમણે જણાવ્યું કે પોતે તેમ જ ઇલાભાભીએ અમેરિકાનું નાગરિકત્વ લીધું છે અને અમારામાંથી કોઇને જો ત્યાં કાયમ રહેવા આવવાની ઇચ્છા હોય તો તેઓ અમારા માટે ’ઇમિગ્રન્ટ વિસા’ મેળવી શકશે. શૈલાએ અને મેં તરત જ હાથ ઊંચો કર્યો. અમેરિકા પાછા ફર્યા પછી શિશિરભાઈએ અમારાં માટે અરજી કરી અને ત્રણ વર્ષ પછી ૧૯૮૩ના મે મહિનામાં અમને ’ગ્રીનકાર્ડ’ માટે વિસા મળ્યો અને અમે ભારત છોડવાની તૈયારીએ લાગ્યાં.
ભારતમાં અમારું ત્રણનું કુટુંબ બહુ સુખી હતું. એટલે સ્વસ્થાન હવે છોડવું પડશે એનો ખેદ, અને સ્વજનોથી દૂર થવું પડશે એનો ઝુરાપો મને સતાવતાં હતાં. પણ એ બધાથીયે વધુ મારું કાળજું કપાતું હતું વૃદ્ધાવસ્થામાં હું દાદાને ભરતભાઈના હવાલે સોંપીને જઈશ, એ જાણકારીથી. ભરતભાઈ અને દાદાના સ્વભાવ વચ્ચે બહુ અંતર હતું, અને જે દાદા જિંદગીભર સ્વમાન સાથે જીવ્યા તેમને હવે વૃદ્ધાવસ્થામાં કદાચ પોતાનાં મૂલ્યો સાથે તડજોડ કરવી પડશે; એ વિચાર મારા માટે અસહ્ય હતો. છતાં મારા, શૈલાના અને અમારા દીકરાના ભવિષ્ય ખાતર હું દાદા પ્રત્યેની મારી ફરજ વિસારે પાડવા તૈયાર થયો હતો. આવી મનોદશામાં હું ભારત છોડવા સજ્જ થયો.