વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • વાદ્યવિશેષ (૪૧): તાલવાદ્યો (૬) – મૃદંગ

    ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    ઢોલ, ઢોલક, ઢોલકી અને નાળ જેવી જ રચના ધરાવતું આ તાલવાદ્ય ખાસ કરીને દક્ષિણ ભારતીય વિસ્તારોમાં પ્રચલિત છે. તેનો ઉપયોગ શાસ્ત્રીય ગાયન સાથે તાલ પૂરાવવા માટે તેમ જ સ્વતંત્ર તાલવાદન માટે પણ થાય છે. મોટા ભાગે ફણસના થડમાં પોલાણ કરી, બન્ને બાજુએ ખુલ્લા ભાગ ઉપર બકરી કે ઘેટા જેવા પ્રાણીનું ચામડું લગાડીને મૃદંગ બનાવવામાં આવે છે. ચામડાને બરાબર કસીને બાંધી રાખવા માટે બન્ને બાજુએ ચામડામાંથી બનાવાયેલી પાતળી પટ્ટી અથવા ઉપર જોઈ શકાય છે તેવી ધાતુની રચનાનો ઉપયોગ કરવામાં આવે છે.

    મૃદંગનો અવાજ તેની જેવી જ રચના ધરાવતાં અન્ય તાલવાદ્યો કરતાં અલગ પડે છે. એ સમજવા માટે મૃદંગવાદનની એક ક્લીપ સાંભળીએ.

    પહેલાં એક ભજનથી શરૂઆત કરીએ. એક જમાનામાં ‘ભજનસામ્રાજ્ઞી’ તરીકે સુખ્યાત એવાં જ્યુથીકા રોયના સ્વરમાં કમલ દાસગુપ્તાએ સ્વરબદ્ધ કરેલી એક રચના ‘પિયા ઈતની બિનતી સૂનો મોરી’ મૃદંગના બોલ ધરાવે છે.

    હવે હિન્દી ફિલ્મી ગીતોમાં મૃદંગવાદન સાંભળીએ.

    ૧૯૬૮ની ફિલ્મ પડોસનનું ગીત ‘એક ચતુર નાર બડી હોંશીયાર’ લાક્ષણિક દક્ષિણ ભારતીય લઢણમાં બન્યું છે. આ કારણથી તેની સાથે તાલવાદ્ય તરીકે મૃદંગનો ભરપૂર ઉપયોગ થયો છે. સંગીત રાહુલદેવ બર્મનનું છે. આ ફિલ્મમાં મહેમુદનું પાત્ર એક દક્ષિણ ભારતિય સંગીતશિક્ષકનું છે. આથી જ્યારે જ્યારે પરદા ઉપર મહેમુદ ગાય(પાર્શ્વગાન મન્ના ડેનું છે), ત્યારે ત્યારે સાથે મૃદંગના બોલ વાગે છે અને સુનિલ દત્ત વાળા ભાગ(જે કિશોરકુમારના અવાજમાં છે) સાથે તબલાંવાદન છે.

    ફિલ્મ તલાશ ૧૯૬૯ના વર્ષમાં પરદા ઉપર આવી હતી. સચીનદેવ બર્મનના સંગીતમાં બનેલું ગીત ‘તેરે નૈના તલાશ કરે જિસે’ મૃદંગના બોલ વડે સજેલું છે. પરદા ઉપર વિવિધ તાલવાદ્યો સાથે મૃદંગ પણ દૃષ્ટીગોચર થાય છે. વળી ચોક્કસ સમયે મૃદંગવાદન સ્પષ્ટ સાંભળી પણ શકાય છે.

    https://www.youtube.com/watch?v=yZlSFWds8UE&list=RDyZlSFWds8UE&start_radio=1

    હવે સાંભળીએ ૧૯૭૧ની ફિલ્મ બ્રહ્મા વિષ્ણુ મહેશ માટે સંગીતકાર એસ.એન.ત્રીપાઠીના નિર્દેશનમાં તૈયાર થયેલું મૃદંગપ્રધાન ગીત ‘સ્વામી તુમ હો સખા હો હમારે’.

    https://www.youtube.com/watch?v=1nZL_asxCHs&list=RD1nZL_asxCHs&start_radio=1

    ફિલ્મ એક દૂજે કે લીયે(૧૯૮૧)નું ગીત ‘હમ તુમ દોનોં જબ મીલ જાયેંગે’ માણીએ. લક્ષ્મીકાંત-પ્યારેલાલના નિર્દેશનમાં બનેલા આ ગીતમાં 2.12 થી 2.51 સુધી સતત મૃદંગવાદન કાને પડતું રહે છે.

    ૧૯૮૩ના વર્ષમાં રજૂ થયેલી ફિલ્મ કૂલી તેના શૂટીંગ દરમિયાન અમિતાભ બચ્ચનને થયેલી ઈજાને લઈને ખાસ્સી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મનું ગીત ‘લમ્બુજી લમ્બુજી, બોલો ઠીંગુજી’ સાંભળીએ. શરૂઆતમાં ખાસ્સા સમય સુધી પાશ્ચાત્ય તાલ પછી બીજા મધ્યાલાપ દરમિયાન મૃદંગના બોલ કાને પડે છે. વળી નાયક પારદા ઉપર મૃદંગ વગાડતો દેખાય છે.

    https://www.youtube.com/watch?v=cj-EnHwYfKc&list=RDcj-EnHwYfKc&start_radio=1

    ફિલ્મ સૂરસંગમ(૧૯૮૫) એક સંગીતપ્રધાન ફિલ્મ હતી. તેનું સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે તૈયાર કર્યું હતું. આ ફિલ્મના ગીત ‘ધન્યભાગ સેવા કા અવસર આયા’ માં મૃદંગના બોલ સ્પષ્ટ પારખી શકાય છે.

    ફિલ્મ રંગીલા (૧૯૯૫)નાં એ.આર. રહેમાને બનાવેલાં ગીતો આજે પણ ખાસ્સાં લોકપ્રિય બની રહ્યાં છે. તેનું મૃદંગના બોલ ધરાવતું ગીત ‘હાયે રામા યે ક્યા હુઆ’ માણીએ.

    ૨૦૦૯ની ફિલ્મ ગુલાલ માટે પીયૂષ મીશ્રાએ સંગીત તૈયાર કર્યું હતું. તેમણે જ ગાયેલું ગીત ‘આરંભ હૈ પ્રચંડ’ મૃદંગના તાલના સથવારે ચાલતું રહે છે.

    ૨૦૧૭ની સાલમાં પરદા ઉપર આવેલી એક ફિલ્મ મૃદંગ માટે રામવિજય ચંદ્ર અને ચૂનમૂન પંડીત નામના પ્રમાણમાં અલ્પજ્ઞાત સંગીતકારોએ ગીતો બનાવ્યાં હતાં. તે પૈકીના ગીત ‘મ્રીદંગ બાજે જબ કીસ્મત કા’સાથે તાલવાદ્ય તરીકે મૃદંગનો પ્રભાવક ઉપયોગ થયો છે.

    આ કડીની આખરમાં એક તમીળ ફિલ્મ વલ્લી(૨૦૧૭)નું ગીત ‘એનુલ્લે એનુલ્લે’ સાંભળીએ. દક્ષિણના સુખ્યાત સંગીતકાર ઈલિયારાજાએ ગીત સાથે મૃદંગના બોલનો પ્રયોગ કર્યો છે.


    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • આશા ભોસલેનું અન્ય સ્ત્રી ગાયિકા સાથેનું સૌ પ્રથમ યુગલ ગીત: ૧૯૪૯ – ૧૯૫૩

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    આશા (આશાલતા) ભોસલે (૮ સપ્ટેમ્બર, ૧૯૩૩ –  ૧૨ એપ્રિલ ૨૦૨૬) ની પાર્શ્વગાયનની કારકિર્દી તો દસ વર્ષનાં હતાં ત્યાંથી જ શરૂ થઈ ગયેલ. તેમણે ગાયેલું સર્વ પ્રથમ ગીત લતા મંગેશકર જેનાં મુખ્ય ગાયિકા હતાં એવું મરાઠી યુગલ / કોરસ ગીત ચલા ચલા નાવ બાલા (માંઝા બાલ, ૧૯૪૩ – ગીતકારઃ વી એસ ખાડેકર – સંગીતકારઃ દત્તા દાવજેકર) હતું. હિંદી ફિલ્મોમાં પણ તેમને સર્વ પ્રથમ તક ગીતા રોય (દત્ત) અને ઝોહરાબાઈ અમ્બાલેવાલી સાથે ‘ચુનરીઆ’ (૧૯૪૮)નું ત્રિપુટી ગીત સાવન આયા રે … જાગે મેરે ભાગ સખી રે (ગીતકારઃ મુલરાજ ભાખરી – સંગીતકારઃ હંસરાજ બહલ)માં મળી.

    હિંદી ફિલ્મ સંગીતની આશા ભોસલેની પાર્શ્વગાયનની કારકિર્દીમાં સ્ત્રી – સ્ત્રી ગીતોની જે કેડી ઉભરી આપણે કેડી પરનાં ગીતોની યાદ તાજી કરીને આશા ભોસલેને યાદાંજલિ આપીશું. પ્રસ્તુત શ્રેણીમાં આપણે હાલ પુરતાં આશા ભોસલેનાં સ્ત્રી-સ્ત્રી ત્રિપુટી / ત્રિપુટી+ ગીતોને નહી આવરી લઈએ.

    આશા ભોસલેનાં સ્ત્રી- સ્ત્રી યુગલ ગીતોની આ શ્રેણીની શરૂઆત આપણે  આશા ભોસલેએ અન્ય સ્ત્રી ગાયિકા સાથે ગાયેલાં સૌ પ્રથમ યુગલ ગીતની યાદી કરીને કરીશું.

    બાદલ ઘીર આયે, રિમઝિમ પાની બરસે – કરવટ (૧૯૪૯) – ગીતા દત્ત સાથે – ગીતકાર ઃ ડી એન મધોક – સંગીતઃ હંસરાજ બહલ

    બે સખીઓ પોતાના મનના ભાવ એકબીજી ને કહે એ ભાવનાં ગીતો સ્ત્રી સ્ત્રી યુગલ ગીતો માટે બહુ જ હાથવગો વિષય રહ્યો છે. તેમાં પછી વર્ષા ઋતુમાં પ્રેમી પાસે ન હોય તે સમયે દિલમાં જે ભાવ ઊઠે તે તો પોતાની સખી સિવાય બીજાં કોને કહેવા જવાય !

    રામ દુહાયી હાય રામ દુહાયી – નેકી ઔર બદી (૧૯૪૯) – રાજ કુમારી સાથે – ગીતકારઃ કિદાર શર્મા – સંગીતઃ રોશન

    ભારતીય નારીને તેનો પ્રેમી ફેશનપરસ્ત અંગ્રેજીમાં પોતાની વાત કરવાની ધુન રાખે તે કેમ પોષાય ? રાજકુમારી ફરિયાદી સખીનો સુર પુરાવે છે. આશા ભોસલેના ભાગે એ સખીના ‘ઢીઠ લંગુર‘ની ભુમિકા નિભાવતી સખી તરીકે હિંગ્લિશમાં ગોટપીટ ( ડીયર બટ વ્હાય, ઓ ડીયર બટ વ્હાય) ગાવાનું આવ્યું છે. આમ, ભાવ વૈવિધ્યની અનોખી રજૂઆત કરવાની તાલીમ આશા ભોસલેને શરૂઆતથી મળવા લાગી છે.

    બસ ઈતના બતા દો જિયેં યા મરેં – બહુરાની (૧૯૫૦) – શમશાદ બેગમ સાથે – ગીતકારઃ અઝીઝ સિદ્દીક઼ી – સંગીતઃ હંસરાજ બહલ

    આશા ભોસલે પોતાને ભાગે આવેલી પંક્તિઓને અલગ લય અને ભાવમાં ગાય છે.

    ધીરે ધીરે હાંક રે ગાડી ટીક ના સકેંગે મેરે નૈન ઉન રાહોં પે – સબક (૧૯૫૦) – સુરીંદર કૌર – ગીતકારઃ ડી એન મધોક – સંગીતઃ એ આર ક઼ુરેશી

    આશા ભોસલેને ભાગે ગીતમાં સાખીના બોલ ગાવાનું જ આવ્યું છેઃ

    દિન ગયા આ આઆ આ
    શામ આયી ઈઈઇ ઈઈઈ
    લેકર આયી તારોંકે પૈગામ
    કે જાગો દિલ વાલોં ઓ ઓ
    દિલોંકી ધડકન પર ઉલ્ફત
    ઉલ્ફત વાલોં

    સુરીંદર કૌર સાથે આશા ભોસલેનું આ એક માત્ર યુગલ ગીત છે.

    યે રૂકી રૂકી હવાયેં – દામન (૧૯૫૧) – લતા મંગેશકર – ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન – સંગીતઃ કે દત્તા

    લતા મંગેશકરના સ્વરમાં હતાશાની પીડા છે તેની સામે આશા ભોસલે તેની સખીને એ ભાવમાંથી બહાર આવવા, થોડા ઉંચા સુરમાં ગાઈને, સમજાવે છે. બન્ને વારા ફરતી એક એક કડી ગાય છે.

    કોઈ આનેવાલા હૈ તેરે ઘર કે દ્વાર સખી –  ઈશ્વર ભક્તિ (૧૯૫૧) – સુલોચના કદમ સાથે – ગીતકારઃપંડિત નરેન્દ્ર શર્મા – સંગીતઃ સોનિક ગીરધર

    સુલોચના કદમના સુર સાથે મેળ રહે એવા, થોડા નીચા – ઘેરા – સુરમાં ગાવાની પણ આશા ભોસલેની બહુ જ શરૂથી તક મળી છે.

    જવાનીકે દીન ગીત ગાને કે દીન – કાશ્મીર (૧૯૫૧) – પ્રમોદીની દેસાઈ સાથે – ગીતકારઃ શર્શાર સૈલાની  – સંગીતઃ હંસરાજ બહલ

    આશા ભોસલેને હવે સહગાયિકાની બરાબરીની કક્ષાની ગાવામાં સુધી સક્ષમ સ્થાન મળવા લાગ્યું હોય એવું જણાય છે.

    સમજ઼ ના દુનિયાકો ઘર ખુશીકા યહાં પે ઠોકર કદમ કદમ પે હૈ  – આગ કા દરિયા (૧૯૫૩) – લક્ષ્મી રોય[1] સાથે – ગીતકારઃ અઝીઝ કશ્મીરી – સંગીતઃ વિનોદ

    મુખ્ય ગાયિકા તરીકે આશા ભોસલેને સાથ મળવા લાગ્યું એ ફિલ્મો પૈકી આ પણ એક ફિલ્મ ગણી શકાય. આ ફિલ્મનાં ૧૧ ગીતો પૈકી ૭ ગીતો આશા ભોસલેએ ગાયાં છે.

    આ ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક રૂપ કે શોરીની જ આ પહેલાંની ફિલ્મ ‘એક થી લડકી’ (૧૯૪૯),  જેમાં પણ હીરોઈનની ભુમિકામાં મીના શોરી જ હતાં, મુખ્ય ગાયિકા તરીકે સંગીતકાર વિનોદે લતા મંગેશકરને લીધેલાં.

    ભૂલ ગયી સુધ બુધ તન કી મન કી – નૈના (૧૯૫૩) – આશિમા બેનર્જી સાથે – ગીતકારઃ ઉદ્ધવ કુમાર – સંગીતઃ મન્ના ડે

    સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોના પ્રકારમાં આશા ભોસલેની આવી રહેલ ફાવટ અહીં કળી શકાય છે.

    આશિમા બેનર્જી સાથે આશા ભોસલેનું આ એક માત્ર યુગલ ગીત છે.

    આયી હૈ દરબાર …. દો દેશ દુલારે વીરોંકા – રાજમહલ (૧૯૫૩) – સાવિત્રી સાથે – ગીતકારઃ મુંશી દિલ – સંગીતઃ પંડિત ગોવિંદરામ

    અહીં આશા ભોસલે અને તેમનાં સહગાયક એકસાથે ગીત ગાય છે. બીજાં ગાયક સાથે આખું ગીત એક સાથે ગાવું એ બહુ આગવું કૌશલ્ય માગી લે છે.

    સ્વાભાવિક છે કે આશા ભોસલેની કારકિર્દીના તબક્કાનાં ગીતો આપણે ખાસ સાંભળ્યાં ન હોય; એટલે આપણે અહીં વિરામ લઈએ કે જેથી આ ગીતોને સારી તે મમળાવી શકાય.


    [1] તેમના Atul’s Song a Day પરના લેખ Dekho Ree Sakhee Rang Bharee Holee Aayee માં શ્રી અરૂણ કુમાર દેશમુખે ચોખવટ કરી છે કે લક્ષ્મી રોય ગીતા રોય (દત્ત)ની નાની બહેન છે. જ્યારે ભેડ (૧૯૫૦)માં મુકુલ રોયને સ્વતંત્ર સંગીત માટે તક મળી ત્યારે તેમણે લક્ષ્મી રોયને પણ તક આપી. જોકે લક્ષ્મી રોય એટલાં સારા ગાયક ન નીવડ્યાં. એટલે તેમને થોડી વધારે તકો મળી પણ કંઈ લાંબો ગજ વાગ્યો નહીં. ચિત્રગુપ્તે ભકત પુરણ (૧૯૫૨)માં એક, નયા રાસ્તા (૧૯૫૩ં) બે, વિનોદે આગ કા દરિયા (૯૧૫૩)માં એક અને એસ એન ત્રિપાઠીએ નવ દુર્ગા (૧૯૫૩) બે ગીતો લક્ષ્મી રોયને આપ્યાં, છેલ્લે, શૈલાબ (૧૫૬)માં મુકુલ રોયે એક ગીત આપ્યું.

  • જૂનું પણ સોનું, નવું પણ સોનું

    ધિક્કારનાં ગીતો

    સારપ અને ખરાબી અગાઉ પણ હતાં અને આજે પણ છે. જૂનું બધું ઉત્તમ હતું એવો દાવો ન કરી શકાય.

    દીપક સોલિયા

    હવે પહેલાં જેવું નથી રહ્યું… આવો નિઃસાસો કોઈ વૃદ્ધ નાખે તો સમજી શકાય, પણ જુવાનજોધ નારી આવું કહે ત્યારે સહેજ નવાઈ લાગે.

    ફિલ્મ ‘દાગ’ના ગીત ‘જબ ભી જી ચાહે નઈ દુનિયા બસા લેતે હૈ લોગ’માં જુવાન નાયિકા, ગીતકાર સાહિર લુધિયાનવીના શબ્દોમાં, કોઈ વૃદ્ધાની જેમ ગાય છેઃ યાદ રહતા હૈ કિસે ગુઝરે ઝમાને કા ચલન; સર્દ પડ જાતી હૈ ચાહત, હાર જાતી હૈ લગન; અબ મહોબ્બત ભી હૈ ક્યા એક તિજારત કે સિવા; હમ હી નાદાં થે જો ઓઢા બીતી યાદોં કા કફન; વર્ના જીને કે લિએ સબ કુછ ભૂલા લેતે હૈં લોગ.

    સમય જતાં પ્રેમ ઠરી જાય (સર્દ પડ જાતી હૈ ચાહત) અને ઉત્સાહ મોળો પડી જાય છે (હાર જાતી હૈ લગન) એવું ફક્ત આજે જ નહીં, અગાઉના જમાનામાં પણ જોવા મળતું. કુદરતનો અને વિજ્ઞાનનો નિયમ છે કે અતિ ઉત્તેજિત સ્થિતિ કાયમ ટકી શકે નહીં, ઉડેલું વિમાન કાયમ હવામાં તરી શકે નહીં. જુવાનીનો જોશીલો પ્રેમ પછી વાસ્તવની ધરતી પર લેન્ડિંગ કરીને ઠરેલ બનવાનો જ. એટલે પ્રેમ થોડો ટાઢો પડે, વાજબી બને એમાં કશું ખોટું નથી.

    નાયિકા કહે છે કે હવે તો પ્રેમના નામે ફક્ત વેપાર થાય છે (અબ મહોબ્બત ભી હૈ ક્યા ઇક તિજારત – વ્યવસાય- કે સિવા), પ્રેમ હવે પ્રોફેશનલ બની ગયો છે. કમ ઓન, ખુલ્લી આંખે, સમજપૂર્વક બંધાતા પ્રેમસંબંધો અને લગ્નસંબંધોમાં અગાઉ પણ સામેના પક્ષનું ખાનદાન જોવાતું, આવક જોવાતી, મિલકત જોવાતી. આવી બધી ‘વ્યાવસાયિક તકેદારી’ કંઈ આજની જ વાત નથી. ટૂંકમાં અસ્સલના જમાનામાં જ અસ્સલ પ્રેમ થતો અને હવે ફક્ત વ્યાપારી પ્રેમ થાય છે એવો દાવો ખોટો છે. પ્રેમ પ્રેમ છે. એ પહેલાં પણ થતો, આજે પણ થાય છે. પ્રેમમાં નાદાની અગાઉ પણ જોવા મળતી, આજે પણ જોવા મળે છે. હા, એટલો ફરક પડ્યો છે કે હવે પ્રેમીઓને ઓનલાઈન એપની મદદથી શોધી શકાય છે. અગાઉ આટલી સુવિધા નહોતી. આ સુવિધાથી કેટલાકને સારાં પાત્ર મળી પણ રહે છે અને ઘણાં ભેરવાઈ પણ પડે છે. સરવાળે, રૂબરૂ મળ્યા વિના ઓનલાઈન ચેટિંગ અને ફોટો-વીડિયોની આપલેથી પ્રેમમાં પડવામાં ફાયદા કરતાં જોખમ વધુ છે એટલું ખરું, બાકી નવો જમાનો ખરાબ છે, નવી પેઢી ખરાબ છે, પહેલાં બધું બહુ જ મસ્ત હતું… આવી બધી વાતો તો હજારો વર્ષથી ચાલતી રહી છે અને ચાલતી રહેશે. એમાં ઝાઝો દમ નથી.

    હા, નાયિકાની એ વાતમાં દમ છે કે સ્મૃતિઓમાં જીવવા બદલ તે પોતાને નાદાન ગણાવે છે. હમ હી નાદાં થે જો ઓઢા બીતી યાદોં કા કફન. જે ફક્ત સ્મૃતિઓમાં જ જીવે છે તે નાદાન જ ગણાય. કરેક્ટ.

    બાકી સ્મૃતિ પોતે ખરાબ નથી. એ તો મગજનો આધાર છે. સ્મૃતિના જોરે જ તો આપણે કામની ચીજો યાદ રાખી શકીએ છીએ. છેક નાનપણમાં શીખેલું ગણિત –બે ને બે ચાર થાય- જીવનભર ઉપયોગી સાબિત થાય છે. સ્મૃતિ એ સાંસારિક જીવનનો પાયો છે. સ્મૃતિ વિના આપણું ગાડું સાવ જ અટકી પડે.

    સામે પક્ષે, સ્મૃતિ જેટલી જ મહત્ત્વની ચીજ છે વર્તમાન વાસ્તવિકતા. વર્તમાન જીવંત ચીજ છે, એ ધબકે છે, આપણે જીવવાનું વર્તમાનમાં જ છે અને વર્તમાન જીવનમાં જ્યાં જ્યાં જરૂરી લાગે ત્યાં સ્મૃતિનો ઉપયોગ કરવાનો છે. બાકી વર્તમાન સામે આંખ આડા કાન કરીને ફક્ત સ્મૃતિવનમાં જ આંટાફેરા કરતાં રહેવું એ તો નિર્ભેળ નાદાની જ છે અને નાયિકા એ વાત સ્વીકારે છેઃ હું જ નાદાન છું કે જૂની યાદોનું કફન ઓઢીને બેઠી છું, બાકી લોકો તો જીવવા માટે બધું જ ભૂલી જાય છે.

    જોકે અહીં નાયિકાનો ટોન લોકોની ટીકા કરનારો છે. લોકો તો કેવાં હોય છે? લોકો તો જૂની બધું ભૂલીને આગળ વધી જાય છે. પણ સવાલ એ છે કે આમાં ટોણો મારવા જેવું શું છે? જૂનું ભૂલીને આગળ વધવામાં ખોટું શું છે? જૂની વસ્તુ ચાહે પ્રેમ હોય કે દ્વેષ, એને પાછળ છોડીને આગળ વધવામાં જ સાર છે.

    ભૂતકાળના બોજ હેઠળ કચડાઈ મરવાનો કોઈ મતલબ નથી. આ બાબતે બાળકોને ગુરુ બનાવવા જેવા છે. બાળકો ભાષાથી માંડીને બીજી અસંખ્ય બાબતો અત્યંત ઝડપથી શીખી શકે છે તેની પાછળનું એક મહત્ત્વનું કારણ એ છે કે એ ભૂલવા જેવી ક્ષુલ્લક-નકામી વાતો તરત ભૂલી જાય છે. મમ્મીએ એક થપ્પડ મારી હોય તેને લીધે રડી રહેલું બાળક પછી એ જ મમ્મી દ્વારા ચોકલેટ ધરવામાં આવે ત્યારે રાજી થઈને મમ્મીને વળગી પડે છે. ત્યારે તે એ યાદ નથી રાખતું કે હજુ તો બે જ મિનિટ પહેલાં મમ્મીએ તમાચો મારેલો. જો બીત ગઈ સો બાત ગઈ… આ સિદ્ધાંતના સૌથી ચુસ્ત અનુયાયી એવાં બાળકો શું નિર્દોષ નથી હોતા? પ્યારાં નથી હોતાં? હોય જ છે. માટે, ‘જીને કે લિયે સબ કુછ ભૂલા લેતે હૈં લોગ’ એ બાબત પણ સારી જ છે, પ્યારી જ છે.

    એક નાનકડી આડ વાત.

    માણસ ક્યારેય ‘સબ કુછ’ ભૂલી નથી શકતો. એ અશક્ય છે. ભૂતકાળને પૂરેપૂરો ક્યારેય ભૂલી નથી શકાતો. એ થોડો તો યાદ રહે જ છે. જીવવા માટે લોકો બધેબધું ભૂલી જાય છે એવો નાયિકાનો દાવો પૂરેપૂરો ખોટો છે.

    નાયિકા અહીં જ નથી અટકતી. એનો પુરુષદ્વેષ હજુ પૂરેપૂરો વ્યક્ત નથી થયો (આપણી આ શ્રેણી ગીતો દ્વારા સ્ત્રી-પુરુષો કઈ રીતે એકમેક સામે દ્વેષ વ્યક્ત કરે છે તે વિશેની છે).

    નાયિકા આ ગીતમાં પોતાની ફરિયાદ કઈ રીતે આગળ વધારે છે તેની વાત આવતા લેખમાં.


    (ક્રમશઃ)


    શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com

  • વીજળી

    લતા હિરાણી

    વીજળીને ક્યાંય ચેન નહોતું.

    કેટલાય મહિનાઓ થયા, એ સાવ ઘરમાં બેસી રહી હતી. આકાશે એને મનાઈ ફરમાવી હતી, તારે ચમકવાનું નહીં. બેસી રહેવું કોઈને ક્યાંથી ગમે ?

    એ વાદળ પાસે ગઈ.

    ‘વાદળભાઈ, વાદળભાઈ, મારી વાત સાંભળો ને!’

    ‘શું છે બોલ!’

    ‘આમ નવરી બેસી બેસીને હું થાકી ગઈ છું. મને ચમકારા કરવા દો ને !’

    ‘મને ખબર છે, આકાશદાદાએ તને ના પાડી છે. તું ચમકે એનો વાંધો નથી પણ પછી તું ગેલમાં આવી જાય છે. કોઈ મકાન પર કૂદકો મારી દે છે તો માણસો મરી જાય છે. પશુ-પંખી મરી જાય છે. એમ કેમ ચાલે ?’

    ‘પણ હું પ્રોમિસ આપું છું. ખાલી ચમકારા જ કરીશ. ક્યાંય કોઈના ઉપર નહીં પડું બસ!’

    ‘આમાં મારું કંઈ ન ચાલે. આકાશદાદાનો હુકમ એટલે હુકમ એ માનવો જ પડે’.

    વીજળી નિરાશ થઈ ગઈ. એને ચાંદામામા યાદ આવ્યા. આકાશદાદા ચાંદામામાનું તો જરૂર સાંભળે. દોડતી દોડતી એ ચાંદામામા પાસે ગઈ.

    ચાંદામામાએ શાંતિથી એની ફરિયાદ સાંભળી. પછી કહે,

    ‘જો બેટા, આપણું મોટું કુટુંબ છે. આકાશદાદા આપણા કુટુંબના વડા છે. એ જે કહે એ સમજી વિચારીને જ કહે. બધા એનું કહ્યું માને છે. હું પણ એમની વાત માનીને ચાલુ છું. જો કદી દિવસે દેખાઉં છું ?’

    ‘તો મારે શું કરવું?’ વીજળી રડી પડી.

    ચાંદામામા એ વીજળીને ખોળામાં બેસાડી. એના આંસુ લૂછ્યાં. ખૂબ વ્હાલ કર્યુ. પછી એને એક રસ્તો સૂઝયો.

    ‘તું એમ કર, તારલિયાઓ પાસે જા. આકાશદાદાને નાનાં બાળકો બહુ વહાલાં છે. એ બાળકોની વાત જરૂર સાંભળશે.’

    વીજળી ખુશ ખુશ થઈ ગઈ. ‘થેન્ક્યુ ચાંદામામા’ કહેતી એ ફટાફટ ભાગી. હજી તો રાત હતી તો તારા મળી જાય. પછી સવારે તો બધાં ગુમ થઇ જાય, એ પહેલા કોઈ તારલાને મનાવી લઉં.

    એ દોડવા લાગી. ઝબુક તારો એને સામે મળ્યો. વીજળીનું ઉતાવળમાં ધ્યાન પણ ન પડ્યું.

    ‘અરે વીજળીદીદી, ક્યાં દોડો છો?’

    ‘હાશ મળી ગયો…’ કહેતાં વીજળી અટકી.

    ‘શું મળી ગયો?’ ઝબુક બોલ્યો.

    ‘હાશ, તું મળી ગયો! હું તને જ શોધતી હતી…’ વીજળી એ કહ્યું

    એ ઝબુક તારાની પાસે હાંફતી હાંફતી બેસી ગઈ. ઝબુક તારાએ એને પાણીનો ગ્લાસ આપ્યો. પાણી પીધા પછી એનો શ્વાસ બેઠો. પછી વીજળી કહે,

    ‘ઝબુક, મારા નાનકડા ભઈલા, તું મારું એક કામ ન કરે!’

    એમ કહીને વીજળીએ પોતાની બધી મુસીબત કહી. ઝબુક તારો વિચારમાં પડ્યો વીજળીદીદીની વાત તો સાચી છે. નવરા બેસીને તો કંટાળી જવાય પણ આકાશદાદાને મનાવવા કેમ?

    ઝબૂક તારો કહે, ‘એમ કર વીજળીદીદી,  રાત્રે આકાશદાદા પાસે હું વાર્તા સાંભળવા જઈશ ત્યારે કંઈક આઈડિયા લગાવીશ. એ મને ના નહીં પાડે.’

    વીજળી ખુશ થઈ ચાલી ગઈ. એ રાત્રે ઝબુક તારો આકાશદાદા પાસે પહોંચ્યો. બધા તારા શોરબકોર કરતા હતા. ઝબૂકતારો કૂદીને આકાશદાદાના ખોળામાં બેસી ગયો અને આકાશદાદાની લાંબી દાઢી પર હાથ ફેરવતો બોલ્યો,

    ‘દાદાજી હું તમને વ્હાલો છું ને!

    ‘કેમ વળી, આજે કંઈ ફરી ચોકલેટ ખાવી છે? આકાશ દાદા બોલ્યા.

    ‘ના દાદા ચોકલેટ નથી ખાવી પણ બીજું કંઈક જોઈએ છે. તમે મને પ્રોમિસ આપો કે હું માંગુ એ તમે આપશો જ.’

    ‘તારે તારા માટે કંઈ માંગવું છે?’

    ‘ના દાદા, મારે બીજા કોઈ માટે માંગવું છે.’

    આકાશદાદા ખુશ થયા.

    ‘જે બીજાં માટે માગે છે એને હું હંમેશા આપું છું. મને એવા બાળકો બહુ ગમે છે, જે બીજાનો વિચાર કરે છે અને બીજાને મદદ કરે છે.

    ટપ કરતો ઝબુકતારો દાદાના ખોળામાંથી ઉતરી ટટ્ટાર ઊભો રહી ગયો.

    ‘દાદાજી, વીજળીદીદી બહુ કંટાળી ગઈ છે. એ રડે છે. ખાલી ખાલી બેસીને થાકી ગઈ છે. એને કંઈક કામ કરવા દો ને!’

    આકાશદાદાએ થોડીવાર વિચાર્યું. પછી કહે, ‘તું કહે છે તો ઠીક છે. બોલાવ વીજળીને.’

    વીજળી દોડતી દોડતી આવી.

    આકાશદાદાએ પૂછ્યું, ‘તારે ચમકવું છે ને? જો હું તને બીજા સ્વરૂપે પૃથ્વી પર મોકલું છું. તું ચમક્યા કરજે અને બાળકોને આનંદ આપજે.

    બીજી જ પળે વીજળીમાંથી કેટલા બધા આગિયા બની ગયા!

    ત્યાં બેઠેલાં બધાં બાળકો આનંદથી નાચી ઉઠ્યાં.

  • મોન્ટુની રીસ

    ગિરિમા ઘારેખાન

    એક હતો હાથી. આમ તો હાથી નહીં, નાનો હાથી એટલે હાથીનું બચ્ચું જ કહેવાય – મદનિયું. નામ એનું મોન્ટુ. મોન્ટુ એની મા હાથણી સાથે શહેરના પ્રાણી સંગ્રહાલયમાં રહેતો હતો. આ ખૂબ મોટું પ્રાણી સંગ્રહાલય હતું. અહીં દરેક પ્રકારના પ્રાણીઓનો પોતપોતાનો મોટો વિસ્તાર હતો. મોન્ટુને અહીં કોઈ તકલીફ ન હતી. દિવસે એ અને એની મા એમના વિસ્તારમાં ફર્યા કરતાં. આખા વિસ્તારને ફરતી લોખંડની વાડ હતી. માણસો એની બહાર ઊભા રહીને પ્રાણીઓને જોતાં. બધાં જ માણસો, ખાસ કરીને બાળકો મોન્ટુને જોઇને બહુ ખુશ થતાં. કોઈ કહેતું, ‘આ મદનિયું કેટલું સરસ લાગે છે.’ બીજું બાળક બોલતું, ‘મને લાગે છે કે બધાં પ્રાણીઓમાં એ જ સહુથી સરસ છે.’  કોઈ બાળકો એની લાંબી સૂંઢની તો કોઈ હાલતા રહેતા કાનની વાત કરતાં. એક વાર એક છોકરીએ એવું કહ્યું કે ‘એની આંખો બહુ ઝીણી છે’, તો બીજીએ તરત કહ્યું, ‘પણ તને ખબર છે, આપણે રસ્તા ઉપર નાનો સિક્કો પણ મૂક્યો હોય ને, તો હાથી એને જોઇને, મસ્ત રીતે સૂંઢથી ઉપાડી લે. પછી એને એની ઉપર બેઠેલા મહાવતને આપી દે.’ મોન્ટુને એ બધું સાંભળવું બહુ ગમતું. પોતાના વખાણ સાંભળવાનો એને બહુ આનંદ આવતો.

    એક વાર એક સ્કૂલના ઘણા બધાં છોકરાઓ એ પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા હતા. છોકરાઓનું મોટું ટોળું જોઇને મોન્ટુ વાડની અંદરની બાજુ આવીને ઊભો રહ્યો. એને પણ બાળકોને જોવાનું, એમની મસ્તીને જોવાનું ગમતું. પાછું કોઈ પોતાના વખાણ કરે તો તો મજા મજા. પણ આજે રોજ કરતાં કૈંક અલગ થયું. એને જોઇને એક છોકરાએ કહ્યું, ‘બાપ રે ! આ મદનિયું તો કેટલું જાડું છે !’ બીજાએ કહ્યું, ‘આવડું મોટું શરીર અને નાનકડી પૂંછડી ! કેટલું ફની લાગે છે!’ એ સાંભળીને બીજા એક છોકરાએ મશ્કરી કરતાં કહ્યું,  ‘પાછળ તો નાની જ હોય ને! એની મોટી પૂંછડી તો આગળ લટકે છે.’ એ સાંભળીને બધાં છોકરા ‘ખી ખી ખી’ કરીને હસવા માંડ્યા. એક તોફાની છોકરાએ વળી એની નજીક પડેલો એક નાનો પથ્થર ઉપાડીને મોન્ટુ તરફ ફેંક્યો. મોન્ટુને એ પગ ઉપર અડ્યો. એને કંઈ વાગ્યું નહીં પણ દુઃખ બહુ થયું. એ ગુસ્સામાં આવીને જોરજોરથી પોતાની સૂંઢ હલાવવા માંડ્યો.

    હવે પેલા છોકરાઓએ પોતાના હાથ પહોળા કરીને ગાવા માંડ્યું,

    ‘હાથીભાઈ તો જાડા
    લાગે મોટા પાડા
    શરીરે થોડા કાળા
    ચાલે તો પાડે ખાડા’

    આ સાંભળીને મોન્ટુ તો ઝડપથી ત્યાંથી નીકળીને અંદર તરફ જવા ચાલવા માંડ્યો. ત્યાં તો પાછળથી એને સંભળાયું:

    આગળ લટકે લાંબી સૂંઢ
    પાછળ લટકે નાની પૂંછ
    કાણા જેવી આંખો છે ને
    સૂપડા જેવા કાન છે.

    મોન્ટુ ઝડપથી ચાલીને એની મા પાસે જતો રહ્યો. પોતાના વિશે આવું બધું બોલાતું સાંભળીને એને બહુ દુઃખ થયું હતું.

    હમેશા ખુશખુશાલ રહેતા મોન્ટુને ઉદાસ જોઇને હાથણીએ પૂછ્યું,

    ‘મોન્ટુ, બેટા શું થયું ?’

    મા એ આટલું પૂછ્યું અને મોન્ટુની આંખોમાંથી તો ડબક ડબક આંસુ નીકળવા માંડ્યા. એણે જે સાંભળ્યું હતું એ મા ને જણાવ્યું અને પૂછ્યું,

    હેં મા, હું એટલો બધો ખરાબ દેખાઉ છું ? હવે હું ક્યારેય બહારની બાજુ નહીં જાઉં. મને શરમ આવે છે. હું ખાઇશ પણ નહીં. મારે પાતળા થઇ જવું છે.’

    હાથણીને એની આ વાતો સાંભળીને બહુ દુઃખ થયું. એણે એને સમજાવતાં કહ્યું, ‘બેટા જે જેવું હોય એવું સારું જ લાગે. અત્યાર સુધી બધાં તારા વખાણ કરતાં હતાં ને? આજે થોડા મૂર્ખ, તોફાની છોકરાઓએ થોડું જુદું કહ્યું એટલે તું ઉદાસ થઇ ગયો ? તું બહાર જ ના જાય એ કેવી રીતે ચાલે? અહીં એક ખૂણામાં ભરાઈ રહેવાનું તને ગમશે? જો હરણાં, સસલાં, બધાં કેવાં ચારે બાજુ ફરે છે?

    પણ મોન્ટુ આજે કોઈ રીતે માનવા માટે તૈયાર ન હતો.. એણે કહ્યું, ‘સસલાં તો કેવાં રૂપાળાં હોય છે ! મારો તો રંગ પણ નથી સારો. અને હરણાં ! પાતળા અને સુંદર. એમને કોઈ ના ચીડવે. હું તો બહુ જ ખરાબ દેખાઉ છું. હું હાથી શું કામ થયો?’

    હાથણીએ વિચાર્યું કે આને કોઈ બીજી રીતે સમજાવવો પડશે. અહીં બાળકો તો ખાસ મોન્ટુને જોવા જ આવે છે અને રાજી થઈને જાય છે. એ જ આમ રિસાઈને એક ખૂણામાં ભરાઈ રહે તો કેવી રીતે ચાલે ? એણે પોતાની જાતને ગમાડવી જ પડશે.

    પછી તો હાથણીએ સસલાં, હરણાં, વાંદરા અને બીજાં થોડા પ્રાણીઓને એ વાત કરી. બધાએ કહ્યું કે ‘મોન્ટુ પોતાની જાત માટે આવું વિચારે એ તો ના જ ચાલે. આપણે કોઈ ઉપાય શોધીશું.’ સાંજે એમનો રખેવાળ જયારે ખાવાનું આપવા આવ્યો ત્યારે એણે હાથણીને પૂછ્યું, ‘આજે મોન્ટુ કેમ બહારની તરફ દેખાયો નહીં. બીમાર તો નથી ને?’

    હાથણીએ એને પણ જે થયું હતું એ જણાવ્યું. એણે કહ્યું કે એ એનો કંઈ ઉપાય શોધી કાઢશે.

    આ પ્રાણી સંગ્રહાલયની બીજી તરફ બાલવાટિકા હતી. એમાં એક રૂમમાં જાદુઈ અરીસા રાખેલા હતા. જાદુઈ એટલે એવા કે એમાં જાડા હોય એ સાવ પાતળા દેખાય અને પાતળા હોય એ જાડા ભમ દેખાય. જે જેવા હોય એનાથી અલગ જ દેખાય. બીજા દિવસે રખેવાળે એ અરીસા લાવીને હાથી, સસલાં, વગેરે શાકાહારી પ્રાણીઓ જે તરફ રહેતાં હતા ત્યાં લાવીને મૂકી દીધા અને હાથણીને પોતાની યોજના જણાવી.  એ તો ખૂબ બુદ્ધિશાળી હતી. એ યોજના એ તરત સમજી ગઈ અને એને ગમી પણ ગઈ.

    હવે હાથણીએ તો બધાં પ્રાણીમિત્રોને બોલાવ્યાં અને કહ્યું, ‘ચાલો, ચાલો, આપણે બધાં કંઈ જાદુ જોવા જઈએ. બહુ મજા આવશે.’ એણે મોન્ટુને પણ સમજાવીને સાથે લીધો. રખેવાળે જ્યાં અરીસા મૂક્યા હતા એ તરફ એ બધાને લઇ ગઈ. પહેલા એણે એક સસલાને એક અરીસા સામે ઊભા રહેવાનું કહ્યું જેમાં એ ખૂબ ઊંચું અને મોટું લાગતું હતું. બધાં તો અરીસામાં એનું પ્રતિબિંબ જોઇને જોરજોરથી હસવા લાગ્યા. મોન્ટુને પણ હસવું આવી ગયું. પછી હરણું એવા અરીસા સામે જઈને ઊભું રહ્યું જેમાં એનું શરીર હાથી  જેવું જાડું લાગતું હતું. એ જોઇને તો મોન્ટુ સૂંઢ ઊંચી કરી કરીને ખૂબ હસવા માંડ્યું. સાથે સાથે એ બોલતું   પણ હતું, ‘મા, આ જાડું હરણું તો કેવું લાગે છે !’ હરણું પોતે પણ પોતાનું પ્રતિબિંબ જોઇને હસતું હતું.

    હવે હાથણીએ મોન્ટુને બોલાવ્યું. એ એને એવા અરીસા પાસે લઇ ગઈ જ્યાં એનું પ્રતિબિંબ ખૂબ પાતળું દેખાય. એણે કહ્યું, ‘તારે પાતળું થવું છે ને ? તો પહેલા પાતળો મોન્ટુ કેવો લાગશે એ જોઈ લે.’ મોન્ટુ આગળ આવ્યો અને અરીસા સામે ઊભો રહ્યો. પોતાનું જ પ્રતિબિંબ જોઇને એની ઝીણી ઝીણી આંખો પણ મોટી થઇ ગઈ. અરે રે ! આવું ! એનું પાતળું શરીર જોઇને હરણાં તો કૂદીકૂદીને હસવા લાગ્યા. સસલાં તો વળી હસતાં હસતાં લોટપોટ થઈને જમીન ઉપર આળોટવા લાગ્યા. વાંદરા ગુલાંટો ખાવા માંડ્યા. મોન્ટુને પોતાને પણ હસવું આવી ગયું. પાતળો હાથી તો કેવો લાગતો હતો ! જાણે હાથી જ નહીં !

    હાથણીએ હવે મોન્ટુને પૂછ્યું, ‘થવું છે તારે પાતળા? તો તું આવો લાગીશ. મોન્ટુએ જોરથી ડોકું ધૂણાવીને   ના પાડી દીધી. હાથણીએ એના શરીર ઉપર પોતાની સૂંઢ ફેરવતાં કહ્યું, ‘તું કહેતો હતો કે તને હાથી બનવું જ ના ગમે. પણ તને ખબર છે કે હાથી તો જમીન ઉપરનું સહુથી વધુ મજબૂત અને બુદ્ધિશાળી પ્રાણી છે ? આપણો દેખાવ સરસ જ છે. આપણા દાંત પણ ખૂબ  કીમતી હોય છે. આપણે જેવાં છીએ એવાં સરસ જ છીએ. આપણે કોઈ જેવાં શું કામ થઈએ? ભગવાને જેને જેવાં બનાવ્યાં હોય એ બરાબર જ બનાવ્યાં હોય.’

    મોન્ટુએ કહ્યું, ‘હા મા, આજે મને સમજાઈ ગયું છે કે હું જેવો છું એવો જ સારો છું.’ મોન્ટુના બધાં પ્રાણી મિત્રો પણ મોન્ટુને પાછો ખુશ થયેલો જોઇને રાજી થયાં.

    એ પછી મોન્ટુ તો આનંદથી એમના વિસ્તારની વાડ પાસે જઈને ઊભો રહે છે. એને જોઇને ખુશ થતાં બાળકોને જોઈને એને પણ આનંદ મળે છે. ક્યારેક એ બાળકોની સામે જોઇને પોતાની સૂંઢ ઊંચી કરે છે તો ક્યારેક ઊંધો ફરીને પોતાની નાની પૂંછડી હલાવીને એમને હસાવે છે. કોઈ એને ચીડવે તો પણ એને  એની અસર થતી નથી. એ ખાય છે, પીએ છે અને મજા કરે છે.


    ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯

  • માથાના દુ:ખાવાની ગોળી લો તો પર્યાવરણ પર અસર થાય? હા

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    આપણને ઠીક નથી લાગતું. આથી આપણે કોઈક ગોળી લઈએ છીએ. એ પછી આપણને બહેતર જણાય છે. બસ, વાત પૂરી. આમ તો, આ આખો મામલો રેપરમાંથી ગોળીના નીકળવાથી આપણા પેટમાં પહોંચવા સુધીનો જ ગણાય. આની પર્યાવરણ પર કશી વિપરીત અસર પડી શકે એ આપણી કલ્પના બહારની વાત છે. પણ આજે ઔષધીય એટલે કે ફાર્માસ્યુટિકલ પ્રદૂષણ પર્યાવરણ માટે માથાના દુ:ખાવા સમાન બની રહ્યું છે એ હકીકત છે. નદી, તળાવ તેમજ ભૂગર્ભ જળમાં વિવિધ ઔષધિઓના અવશેષ મળી આવે છે. જૈવિક રીતે સક્રિય હોય એવાં સંયોજનોમાં ‘એ.પી.આઈ.’ (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્‍ગ્રેડિયન્‍ટ/સક્રિય ઔષધિય ઘટકો) ની હાજરી હવે દરેક ખંડની જળપ્રણાલિઓમાં જોવા મળી રહી છે. આ સમસ્યાનો વ્યાપ આધુનિક દવાઓના ઝડપી વિકાસની સાથે તેજ બન્યો છે. વિશ્વભરમાં આશરે ચાર હજાર ઔષધિય ઘટકો ચલણમાં છે. એ પૈકીના ૬૩૧ ઘટકો અથવા તેનાં રૂપાંતરોને ૭૧ દેશોના પર્યાવરણમાં ભળેલા ઓળખી કાઢવામાં આવ્યા હોવાનું સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલમાં જણાવાયું છે.

    તસવીર સૌજન્ય: Al Granberg | The Scientist
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    રેપરમાંથી આપણા શરીરમાં થઈને પર્યાવરણમાં ભળવાની દવાની આ મુસાફરી આમ જોઈએ તો જટિલ નહીં, પણ સીધીસાદી છે. આપણે એન્‍ટિબાયોટિક, એન્‍ટિ ડિપ્રેસન્‍ટ કે દર્દશામક દવાઓ લઈએ ત્યારે તેના અમુક હિસ્સાનું પાચન જ આપણા શરીરમાં થાય છે. એ સિવાયનો હિસ્સો મળમાર્ગે બહાર નીકળીને સ્યુએજ પ્રણાલિમાં જાય છે. નિકાલ કરાયેલા પાણીની ટ્રીટમેન્‍ટ કરતા મોટા ભાગના પ્લાન્‍ટ આવાં જટિલ રસાયણોને દૂર કરી શકે એવી પ્રણાલિ ધરાવતા નથી હોતા. આથી મોટા ભાગના ઔષધિય અવશેષ આવા ટ્રીટમેન્‍ટ પ્લાન્‍ટમાંથી હેમખેમ પસાર થઈને છેવટે નદી, તળાવ કે તટીય પર્યાવરણપ્રણાલિમાં ભળે છે.

    પાકિસ્તાનમાં વહેતી રાવી નદી ઔષધિય પ્રદૂષણમાં વિશ્વભરમાં મોખરે છે. આવી દવાઓ સૌ વરસોથી લેતા આવ્યા છે, તો શું અચાનક તેનાં ઘટકોનું પ્રદૂષણ શરૂ થઈ ગયું? વિજ્ઞાનીઓના મત અનુસાર, આ ઘટકો પર્યાવરણમાં વરસોથી મોજૂદ હશે, પણ બહેતર નિરીક્ષણને કારણે હવે તેની ઉપસ્થિતિની જાણ થવા લાગી. વેસ્ટવોટર ટ્રીટમેન્‍ટ પ્લાન્‍ટ તેની સાંદ્રતા ૯૦ થી ૯૫ ટકા ઘટાડી શકે છે, છતાં તેનો નાનકડો અંશ પાણીમાં રહી જાય છે. કદાચ માનવોને એની વિપરીત અસર ઓછી થાય એમ બને, પણ પાણીમાં રહેતાં જળચરોની વિવિધ પ્રજાતિઓને તે મોટું નુકસાન કરી શકે છે. અલબત્ત, આપણા શરીરની પાચનપ્રણાલિમાં થઈને નીકળતા આ દ્રવ્યો બાબતે કશું કરવું આપણા હાથમાં નથી એ એક વાત થઈ. બીજો મુદ્દો વિવિધ દવાઓના અયોગ્ય નિકાલનો છે, જે વધુ ચિંતાજનક છે. વણવપરાયેલી કે મુદત વીતી ચૂકી હોય એવી દવાઓને આપણે મોટે ભાગે રસોડાના સિન્કમાં, સંડાસના ફ્લશમાં વહાવી દઈએ  છીએ યા ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. આ દવાઓ સીધેસીધી સ્યુએજ પ્રણાલિમાં પહોંચે છે યા કચરા ભેગી લેન્‍ડફિલમાં ઠલવાઈને આસપાસની જમીનમાં કે ભૂગર્ભ જળમાં ભળે છે.

    તેનું ઉત્પાદન થતું હોય એવા વિસ્તારોમાં પણ તેનું પ્રદૂષણ ફેલાય છે. ઘરમાંથી નિકાલ થતા પાણીની સરખામણીએ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાંથી નીકળતા પાણીમાં વિવિધ દવાના ઘટકોનું પ્રમાણ દસથી એક હજાર ગણું સુધી વધુ હોય છે. કેટલાક કિસ્સાઓમાં દવાઓનું ઉત્પાદન કરતા વિસ્તારથી ત્રીસેક કિ.મી. દૂર સુધી આ રસાયણો મળી આવે છે.

    આ ઊપરાંત કૃષિ અને પશુપાલનમાં વિવિધ હેતુસર અનેક એન્‍ટિબાયોટિક તેમજ હોર્મોનનો ઊપયોગ કરવામાં આવે છે, જે છેવટે એક યા બીજા માર્ગે પર્યાવરણમાં જ ભળે છે. આ દ્રવ્યોની સાંદ્રતા કદાચ ઓછી હોય તો પણ આવાં સક્રિય રસાયણોની વિવિધ જળપ્રણાલિમાં વ્યાપક ઊપસ્થિતિની લાંબા ગાળાની અસરો ચિંતા કરાવે એવી હોઈ શકે છે.

    નદી, તળાવ કે તટીય વિસ્તારના પાણીમાં ભળતાં તે વન્યજીવન અને વિવિધ પર્યાવરણ પ્રણાલીની નૈસર્ગિક જૈવિક પ્રક્રિયાઓને ખોરવી શકે છે. ગર્ભનિરોધકોમાં વપરાતા કૃત્રિમ અંત:સ્રાવનું પ્રમાણ લિટર દીઠ એક નેનોગ્રામ જેટલું ઓછું હોય તો પણ તે માછલીઓની પ્રજનન પ્રણાલિને બદલી શકે છે. નર માછલીમાં તે માદાના ગુણો વિકસાવવા જેવી વિપરીત અસર તેનાથી થઈ શકે છે. દક્ષિણ એશિયામાં ગીધ લગભગ નામશેષ થઈ ગયાં એનું મુખ્ય કારણ ઢોરને અપાતી દર્દશામક દવાઓ હતી. એન્‍ટિબાયોટિક નદી કે અન્ય જળપ્રણાલિમાં પ્રવેશે ત્યારે તે એવી સ્થિતિ પેદા કરે છે જેને કારણે બેક્ટેરિયા આ દવાઓના પ્રતિરોધક બની જાય છે. આને કારણે એવાં જંતુઓ પેદા થાય છે કે જે સાદી સારવારને ગાંઠતા નથી.

    માનવ માટે કદાચ પીવાના પાણીમાં રહેલા ઔષધિય અવશેષોને લઈને એટલું જોખમ ન હોય તો પણ તેની લાંબા ગાળાની અસર બાબતે વિજ્ઞાનીઓ સાવચેતી વરતી રહ્યા છે.

    આ પ્રદૂષણના નિવારણનો કોઈ ઊપાય ખરો? સમસ્યાની ઓળખ અને તેના સ્વીકાર પછીનો તબક્કો તેના ઊપાય વિચારવાનો છે. અનેકવિધ મોરચે તેના માટે કામ કરવું પડે એમ છે. દવાઓનો આડેધડ  નિકાલ ન થાય એ વ્યક્તિગત તેમજ સામૂહિક ધોરણે સુનિશ્ચિત થાય એ જરૂરી છે. નકામા પાણીના નિકાલ માટેના પ્લાન્‍ટની  ટેક્નોલોજીમાં પરિવર્તન કરવું અતિ જરૂરી છે. તેમાં કાર્બન ફિલ્ટરેશન, ઓઝોનેશન, આધુનિક ઓક્સિડેશન પ્રક્રિયાઓએ સંતોષકારક પરિણામ દેખાડ્યાં છે.

    આ ઊપરાંત નીતિગત જોગવાઈ મહત્ત્વનું પરિબળ બની રહે એમ છે. સરકારોએ નિરીક્ષણનું સુયોગ્ય માળખું ગોઠવવું જરૂરી છે. આ ઉપરાંત ઔષધિય ઉત્પાદનઉદ્યોગ ક્ષેત્રે પણ આ બાબતે જાગૃતિ લાવવી જરૂરી છે, જેથી તેઓ પોતાના સ્તરે આનો અમલ કરી શકે. આ સમસ્યાનો વ્યાપ એટલો બધો જોવા મળ્યો છે કે એ ચિંતા કરાવે. આથી તેના અંગે અત્યારથી યોગ્ય રીત વિચારવામાં નહીં આવે તો આખી  સમસ્યા વકરીને કાબૂબહાર થઈ જાય એવી પૂરી શક્યતા છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૧૬-૪– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • અનુયાયીઓ બનાવવા માટેની માર્ગદર્શિકા

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

    શબ્દાર્થ પ્રમાણે અનુયાયી એટલે કોઇની પાછળ ચાલનાર. આ શાબ્દિક વ્યાખ્યાનું ઇ‌નપુટ કોમ્પ્યુટરને આપવામાં આવે તો આઉટપુટ એવું પણ આવવા સંભવ છે કે કોઇ મહિલાની પાછળ ચાલતા આવારા જણને તે અનુયાયી કહી દે. એ જ રીતે કોઇની ગતિવિધિ જાણવા માટે તેની પાછળ પાછળ ચાલીને જાસુસી કરનારને કોમ્પ્યુટર તો અનુયાયી જ માને. પરંતુ આ વ્યાખ્યાને લોકસ્વીકૃતિ મળે તેમ નથી. આથી સાચો ઉત્તર શોધવા હંમેશની જેમ આપણાં શાસ્ત્રપુરણોને શરણે જવું રહ્યું.

    મહાભારતનાં વનપર્વમાં એક કથા આવે છે. એક યક્ષને પાંડવોમાં એન્સાઈક્લોપીડિયા દેખાયો હશે, તેથી તેણે જળાશયમાં પાણી પીવા જતા દરેક પાંડવને વારફરતી સવાલ પૂછવા પ્રયાસ કર્યો. ભીમ, અર્જૂન, સહદેવ અને નકુળે તેમને પૂછાયેલા સવાલની અવગણના કરી, તેથી તેઓ મૂર્છા પામ્યા. પરંતુ ધર્મરાજા યુધિષ્ઠિરે બધા જ સવાલોના જવાબો આપ્યા. પછી યક્ષને ક્યાંક જવું હશે પણ તેની પાસે ગૂગલ મેપ ન હતો, તેથી તેણે ધર્મરાજાને પૂછ્યું, “હે ધર્મરાજા, મને જણાવો કે મારે કયા રસ્તે જવું?” ધર્મરાજા પાસે ચોક્કસ જવાબ ન હતો આથી તેમણે કહી દીધુ “ महाजनो येन गतः स पन्थाः। તું કોઇ મહાજનને જતા જુએ તો તેની પાછળ જા”. યક્ષ પછી કોની પાછળ ગયો તે વિશે વ્યાસ ભગવાને લખ્યું નથી, પરંતુ ધર્મરાજાનો જવાબ શાસ્ત્રવચન થઈ પડ્યો.

    આ શાસ્ત્રવચન પ્રમાણે મહાજન એટલે મોટો માણસ એવું તો સમજાયું. પરંતુ મોટો માણસ કોને કહેવો એ સવાલ તો ઊભો જ રહ્યો. કેટલાક જ્ઞાનીઓનું કહેવું છે કે સમાજમાં જેની પ્રતિષ્ઠા વધારે તેને મોટો માણસ ગણવો. પરંતુ પ્રતિષ્ઠા માપવાનું મીટર હજુ સુધી શોધાયું નથી. આથી લોકોએ માની લીધું કે જેને વધારે લોકો અનુસરે તેને પ્રતિષ્ઠિત ગણવો. મોર જેમ પીંછે રળિયામણો તેમ માણસ અનુયાયીઓથી આબરૂદાર. આથી સમાજમાં પ્રતિષ્ઠિત થવા માટે અનુયાયીઓની સંખ્યા વધારવી રહી.

    અનુયાયીની આવશયકતા માત્ર ધર્મના ઠેકેદારોને જ નથી હોતી. રાજનેતાઓના, સામાજિક કાર્યોમાં નેતૃત્વ કરનારાઓના, સ્વૈચ્છિક સંસ્થા સંભાળનાર સેવકોના, જુદી જુદી વિચારસરણીઓના પ્રવર્તકોના પણ અનુયાયીઓની જરૂર  હોય છે. અને હવે તો સોશિયલ મિડિયાને કારણે ફેસબુક વગેરેમાં પણ કોઇ લોકોને અનુયાયીઓ જોઇએ છે. કુદરતી વ્યવસ્થા પ્રમાણે જેમ કીડીને કણ અને હાથીને મણ મળી જ રહે છે તેમ દરેક અનુયાયીઇચ્છુકને પોતાનાં ગજા પ્રમાણે અનુયાયીઓ મળી રહેતા હોય છે.

    અગાઉ જણાવ્યા પ્રમાણે કોઇ વ્યક્તિ જેમ જેમ અનુયાયીઓ વધારતો જાય, તેમ તેમ તે વધુ ને વધુ પ્રતિષ્ઠિત બનતો જાય છે. પરંતુ અનુયાયીઓ વધારવા માટે કેટલીક યુક્તિઓ કરવી પડે. જો કે નોખાં નોખાં ક્ષેત્રોમાં અનુયાયી બનાવવા માટેની યુક્તિઓ નોખી  નોખી હોય છે. આથી નમૂના તરીકે કેટલાક ક્ષેત્રોમાં અનુયાયીઓ બનાવવા માટેની ચાવીઓ આપવા પ્રયાસ કરું છું.

    સૌ પ્રથમ જ્યાં પુષ્કળ પ્રમાણમાં અનુયાયીઓ મળવાની શક્યતા છે, તે ધર્મક્ષેત્રની વાત કરીએ. દરેક ઉત્પાદન માટે કાચા માલની પસંદગી મહત્વની હોય છે, તેમ અહીં એવા લોકો પસંદ કરવા કે જેમનામાં વિચારવાની કે તર્ક કરવાની શક્તિ લઘુત્તમ હોય. આ પ્રકારના લોકોને દિવો લઈને શોધવા જવાની જરૂર નથી. જેમ જાળ નાખવાથી કેટલીક માછલીઓ આપોઆપ સપડાઇ જાય છે, તેમ કેટલાક વેશ ભજવવાથી થોડાઘણા અનુયાયીઓ આપોઆપ મળી રહે છે. પરંતુ કેટલીક માછલીઓ જાળમાંથી કૂદીને બહાર નીકળી જાય છે તેમ ચાલાક લોકો અનુયાયી બનવામાંથી છટકી જાય છે.

    શરૂઆતમાં અનુયાયીઓની સંખ્યા ખાસ વધે નહિ, તો ધીરજ ગુમાવવી  નહિ. દરેક ધંધા માટે એક સુત્ર યાદ રાખવાનું હોય છે કે વરસ બે વરસ તો ઘરના રોટલા ખાવા પડે. હૈયાધારણ રાખવી કે  જેટલા પણ અનુયાયી મળ્યા હોય તે બધા જ ક્યારેક ને ક્યારેક પ્રચારકો બની જશે. તો પણ આ બધામાંથી કેટલાકની યોગ્ય પસંદગી કરીને સ્ટાર પ્રચારકો તરીકે નિમણૂક કરવી જોઈએ.

    ચમત્કારો એ ધાર્મિક અનુયાયીઓ મેળવવા માટે ઉત્તમોત્તમ સાધન સર્વ કાળે સિદ્ધ થયું છે. પરંતુ પોતાના તથાકથિત ચમત્કારની વાત સ્વમુખે કદી ન કરવી. પેલા સ્ટાર પ્રચારકોને જરૂરી તાલીમ આપવાથી તે પોતે જ યોગ્ય સ્થળે અને યોગ્ય માધ્યમમાં તમારા ચમત્કારની મનગડત વાતો કરશે. આથી અનુયાયીઓનો પૂરતો પુરવઠો મળવો શરૂ થશે.

    આટલું કર્યા પછી થોડું રોકાણ કરીને નાનકડું સ્થાનક ઊભુ કરવું. આજથી પચાસેક વર્ષ પહેલા આ સ્થાનકોને ‘જગ્યા’ તરીકે ઓળખવમાં આવતાં. જેમ કે ફલાણા સંત કે બાપુની જગ્યા. પરંતુ નવા જમાનામાં આપણી પ્રાચીન વૈદિક સંસ્કૃતિ તરફ પાછું ફરવાનું હોવાથી સ્થાનકને ‘જગ્યા’ જેવા પ્રાકૃત શબ્દને બદલે આશ્રમ તરીકે ઓળખાવવું રહ્યું. આશ્રમની મુલાકાતે આવનારને શરૂઆતમાં મફત ભોજનપાણી આપવાથી આ સ્થળ માટે આકર્ષણ ઊભુ થશે. પછી આશ્રમનું મહત્વ, ચમત્કારો અને બાધાઆખડીની વાતો કાલ્પનિક દાખલા સહિત પેલા સ્ટાર પ્રચારક મારફત ફેલાવવામાં આવતા ધીમે ધીમે ત્યાં દાનની સરવાણી ફૂટીને આગળ ઉપર પ્રવાહ વહેવા માંડશે અને આશ્રમની સાથે સાથે અનુયાયીઓની સંખ્યાનો પણ વિકાસ થશે. ગુજરાતના એક બહોળા સંપ્રદાયમાં તો એક મંત્ર છે, “આજે જમશે તો બીજા દિવસે આવશે અને ત્રીજા દિવસે માનશે!”

    પોતાને બૌદ્ધિક માનતા હોય તેવા ધાર્મિક અનુયાયીઓ મેળવવા માટે વિશેષ લાયકાત હોવી જોઇએ. શાસ્ત્રોના અર્થઘટનો તર્કબદ્ધ ભાસે એવાં અને એ રીતે કરવા કે જેથી વિવાદો ઊભા થાય. જો અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોય તો ચાર ચાંદ લાગી જશે.

    ‘ધર્મક્ષેત્ર’થી આપણે ‘કુરુક્ષેત્ર’ એવા રાજકારણ પર આવીએ. વર્ષો પહેલા અહીં અનુયાયીઓ બનાવાવા માટે આદર્શવાદીઓની પસંદગી કરવામાં આવતી. સમાજસેવાની ભાવના કે ‘સામજ કો બદલ ડાલો’ જેવા સુત્રો સાથેના ક્રાંતિકારી વિચારો ધરાવતા યુવાનોને રાજકારણમાં આનુયાયીઓ બનાવી શકાતા. આ અનુયાયીઓમાંથી કેટલાકને પોતાના ગુરુની વાસ્તવિક્તાનો પરિચય થતા તેઓ અનુયાયી તરીકે રાજીનામું આપે દેતા. બાકીના વાસ્તવિક્તા સ્વીકારી લઈને સેવાની ભાવના કે ક્રાંતિકારી વિચારો દેખાવ પૂરતા રાખીને ‘સ્વના વિકાસમાં જ સર્વનો વિકાસ છે’ એ સત્ય સમજાતા પોતાના રાજકીય ગુરુના સાચા અનુયાયી બની રહેતા.

    પરંતુ નવા જમાનામાં અનુયાયી બનવા માટે સેવાભાવી હોવું કે ક્રાંતિકારી વિચારક હોવું જરૂરી નથી. રાજકારણમાં પ્રવેશ માટે સેવકનું મહોરું પણ હવે જરૂરી રહ્યું નથી. સરકારી નોકરીમાં ઔપચારિક શિક્ષણ ભલે આવશ્યક હોય પરંતુ રાજકારણમાં અનુયાયી માટે એ જરૂરી તો નથી જ, ક્યારેક તો ઉચ્ચ શિક્ષણ ગેરલાયકાત બની જાય છે. જેના પર એકાદ બે પોલીસ કેસ થયા હોય તેવા લોકો અનુયાયી તરીકે વિશેષ લાયક હોય છે. વળી આવા લોકો અનુયાયી બનવા તત્પર પણ હોય છે, કારણ કે જેમનો ઈતિહાસ ગુનાહિત હોય તેવા લોકોને અનુયાયીમાંથી નેતા બન્યાનાં અનેક ઉદાહરણો તેમની નજર સમક્ષ હોય છે. આથી જેના પર પોલીસે વધારે ગુન્હાઓ નોંધ્યા હોય તેવા લોકો નેતા તરીકેનાં પ્રમોશનની આશાથી અનુયાયી બનવા માટે ઉત્સાહી હોય છે.

    દરેક ઉત્પાદનનાં વેચાણ માટે સમૂહ માધ્યમોમાં તેની જાહેરાત કરવી જરૂરી છે. ‘ધર્મક્ષેત્ર’ અને ‘કુરુક્ષેત્ર’ પણ તેમાંથી બાકાત નથી. અહીં પણ અનુયાયી વધારવા માટે જાહેરખબરોનું  મહત્વ ખૂબ છે. હવે તો હાથવગું એવું સોશિયલ મિડિયા પણ ઘણાબધા અનુયાયીઓ ખેંચી લાવી શકે છે.

    આપણને સૌને ભણાવવામાં આવ્યું છે કે માણસ સામાજિક પ્રાણી છે. પરંતુ એક વિચારકે આગળ વધીને કહ્યું છે કે માણસ સામાજિક  ઉપરાંત રાજકીય પ્રાણી પણ છે. આથી રાજકરણમાં અનુયાયી માટેના નિયમો સેવાભાવી કે અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓને પણ વત્તેઓછે અંશે લાગુ પડે છે. ઘણીખરી કહેવાતી સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓમાં લેબલ સેવાનું હોય છે, પરંતુ આશય મેવા મેળવવાનો હોય છે. આથી આવી સંસ્થાઓમાં મેવાવાંચ્છુઓ અનુયાયી તરીકે વિશેષ લાયક હોય છે. અલબત્ત જૂજ સંસ્થાઓ એવી હોય છે કે જે સેવા અને માત્ર સેવાનો મંત્ર લઈને જ કામ કરે છે, પરંતુ તે સંસ્થાઓને વધારે અનુયાયીઓ મળી શકતા નથી.

    સેના કે પોલીસમાં સિપાઇઓ મેળવવા માટે ભરતી મેળાઓ યોજાતા હોય છે. એ રીતે રાજકીય, ધાર્મિક, કે સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ ઉત્સવો અને સમૈયા નામે ઓળખાતા ભરતી મેળાઓ યોજવાથી વધારે અનુયાયીઓ મેળવી શકાય છે. આ ઉત્સવ માટે કોઇને કોઇ નિમિત્ત શોધવું રહ્યું. જેમ કે સ્થાપના દિન, પાટોત્સવ દિવસ, કોઇ મોટી મનાતી વ્યક્તિનો જન્મદિવસ(80 વર્ષ થયા હોય તો અશિતી વંદના), સામાજિક કે ધાર્મિક તહેવારો, ખાતમુહૂર્તો ,ઉદ્ઘાટનો,આંદોલનો, પરિષદો વગેરે. આ ભરતી મેળાનો બીજો લાભ એ છે કે કોઇક અનુયાયી ભૂલેચૂકે પણ વિચારતો થયો હશે તો ભરતી મેળાની ભીડમાં તેની વિચાર પ્રક્રિયા બંધ થઈ જશે.

    અહીં એક જરૂરી ચેતવણી આપવી રહી. અનુયાયી પસંદ કરવામાં પૂરતી કાળજી રાખવામાં ન આવે તો તમારો અનુયાયી તમારો પ્રતિસ્પર્ધી  બની જવાની પૂરી સંભાવના છે. પ્રતિસ્પર્ધી બનીને તમારા અનુયાયીઓને પોતાના સંપ્રદાયમાં કે રાજકીય પક્ષમાં ખેંચી જશે. ક્યારેક હવેલી લેતા ગુજરાત ખોવાનો વખત પણ આવવા સંભવ છે.

    આખરે જેમ ધનસંપત્તિ મેળવવા માટે નસીબ હોવું જરૂરી હોય છે તેમ અનુયાયી મેળવવા માટે પણ નસીબ જોઇએ. અહીં નસીબના પ્રવેશનું કારણ પ્રખ્યાત વિચારક જ્યોર્જ ‘બર્નાડ શો’ ના શબ્દોમાં મૂકીને મારી વાત પૂરી કરું છું. “મહાન માણસોને તેમની મહાનતા બદલ શી સજા કરવી તેની ગતાગમ ન હોવાના કારણે નસીબ તેમને ચેલાઓ આપે છે.


    (ઉંબાડિયું :

    એક જણે  શહેરના વીસ પ્રતિષ્ઠિત માણસોને પત્રોમાં લખ્યું,

    “બધાને જ ખબર પડી ગઈ છે”

    પછી એ વીસે વીસ પ્રતિષ્ઠિતો શહેર  છોડી ગયા.)


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સ્મૃતિસંપદા : રેખા સિંધલઃ શૂન્ય થી અનંતની સફર [૪]

    સુશ્રી રેખાબહેન સિંધલની શૂન્ય થી અનંતની સફર ની શરૂઆત તેમના અમેરીકામાં પ્રવેશ અને સંઘર્ષથી થઈ અને પછી મારી વિદ્યાયાત્રા અને મારી લેખન યાત્રા અને કુટુંબધર્મ અને હ્રદયમંદિરના પડાવ સુધી આપણે સંગાથ કર્યો..
    હવે તેમની સાથે સફરમાં આગળ વધીએ …..

    ઈતરપ્રવૃતિઓ

    અસ્તિત્વના અનેક ટુકડામાં પ્રતિબિંબિત બધી પ્રવૃતિઓ ક્યારેક ઈતરપ્રવૃતિ જેવી લાગે છે. કબીરનો એક દોહો યાદ આવે છે.

    લિખના પઢના ચાતુરી, એ સબ બાતાં સહેલ
    કામ દહન મન વશ કરન, ગગન ચઢન મુશ્કેલ!

     જીવનની ભાગદોડમાં આ મુખ્ય પ્રવૃતિ જ ઈતર બની ગઈ.

    એકવાર ભોમિયા વિના ડુંગરાઓ ભમવા નીકળી પડી. ગ્રાંડ કેન્યનના પથ્થરોને કાળજે કોતરેલી કલા જોઈ એ ખીણોમાં મને મારી અલ્પતાનું વિરાટ દર્શન થયું. ‘ઈશ્વરે ગ્રાંડ કેન્યન બનાવ્યું પણ તે રહે છે સડોનામાં’ વાંચીને સડોના ગઈ તો ત્યાં જે અનુભૂતિ થઈ તે અવર્ણનીય રહી. યલોસ્ટોન નેશનલ પાર્કમાં જ્વાળામુખીથી ધગધગતી ધરતીના પીળા પથ્થરો અને ઉકળતું સૌંદર્ય મહાઆશ્ચર્ય જગાડી ગયું. મધદરિયાના ટાપુઓની સહેલે એક અલગ દુનિયાના દર્શન કરાવ્યા. ઓલિમ્પિકની વોટરસ્પોર્ટસ માટે એકવખત પસંદ થઈ હતી તે ઓકોઈ નદીના તોફાન અને ઊંડાણનો પરિચય વ્હાઈટ વોટર રાફ્ટીંગથી થયો. મેમથ કેવ્સ(ગુફાઓ)ની હજારો માઈલો સુધી પથરાયેલી કોતરોના અંધારમાં ફૂટતા ઝરણાઓનું સંગીત પણ માણ્યું. સાન ડિયાગોની દરિયાઈ પટ્ટીના મોજાંમાં જીવનની ખારાશને વ્હાવીને રેતીમાં અક્ષરો કોતર્યા. વાદળોની પેલે પાર જવાની ચેષ્ઠા પણ સ્મોકી માઉન્ટન પર જઈને કરી. નાઈગ્રા ધોધની વાછંટોમાં મન ભરીને નાહ્યાં. આનંદનું આ તો ફક્ત આચમન હતું. અમેરીકાની ધરતીનું આ સૌંદર્ય જોઈ થયું કે પૃથ્વી પરનું સ્વર્ગ અહીં જ છે. આ દેશની ધરતી પર સ્વદેશના મારાં ગીરના જંગલ અને અમારી આંબાવાડી જેટલો જ પ્રેમ ઉપજ્યો.

    ઇતિહાસમાં આલેખાયેલી રેડઈન્ડયન એટલે કે અમેરીકાની આદિવાસી પ્રજાના નિર્દોષ માનવ સમુહની હત્યાના સૂકાયેલા આંસુઓને પગલે પગલે(trail of the tears) ગઈ ત્યારે બચી ગયેલા એક પરિવારની ઊગતી પેઢીની ક્લીટા નામની એક યુવતી મળી હતી. તે ત્યાં રીસેપ્નીસ્ટ તરીકે કામ કરતી હતી. તેની સાથેના વાર્તાલાપે મારૂં હ્રદય ઢંઢોળ્યું. અમેરીકાના એક પ્રખ્યાત પ્રકૃતિપ્રેમી કલાકારનું નામ આ સ્થળ ‘Trail of the tears’ ને અપાયેલ જોઈ મને તેના વિષે જાણવાની જીજ્ઞાસા થઈ. આ કલાકારનું નામ હતું જોન જેમ્સ ઓડોબન. કલાકાર અને પ્રકૃતિપ્રેમી તરીકે ખ્યાતિ મેળવેલ આ ફેંચ-અમેરીકને દોરેલા પક્ષીઓના જગવિખ્યાત સુંદર ચિત્રોને મેં વખાણ્યા ત્યારે ક્લીટા કહે, “પણ એની એક વાત મને નથી ગમતી, ચિત્રો દોરવા માટે તે પક્ષીઓને મારી નાખતો અને પછી તેમાં વાયર ભરાવીને જુદા જુદા પોઝ તૈયાર કરી પછી તે ચિત્રો દોરતો. એવું સાંભળ્યુ છે કે તેણે શિકાર કરેલાં મૃતપક્ષીઓના બાસ્કેટો લઈને ફરતો તે ઘણીવાર જોવામાં આવતો.” મને અચંબો એ વાતનો થયો કે પ્રકૃતિપ્રેમી કલાકારો પણ શું આટલા ક્રૂર હોઈ શકે? ઓડોબનની ગોળીઓથી વીંધાયેલા કેટલાય પક્ષીઓના રક્તબિંદુઓ પણ આ ટ્રેઈલ પર સૂકાયા હશે અને છતાં ટ્રેઈલના નામ થકી એ કલાકાર પ્રત્યે ચિરંજીવી આદર દર્શાવવામાં આવ્યો છે. પ્રકૃતિપ્રેમીઓ માટેની જાણીતી સેવા સંસ્થાનું નામ ઓડોબન સોસાયટી પણ આ કલાકારના નામ પરથી છે. જગતમાં ક્રૂરતાને આમ જ આડકતરૂં પોષણ મળતુ હશે ને? કલા ખાતર જીવહિંસાની વાત સાંભળી સર્જક થવા મથતી મારી અંદરની લેખિકા ખળભળી ઊઠી.

    સમાંતરે ચાલતી બીજી એક પ્રવૃતિ તે શક્ય હોય ત્યાં સંસ્થાઓમાં નિ:શુલ્ક સેવા આપવાની. સેવા આપવાનો આનંદ લેવા કરતાં વધારે જ હોય તે આપણે જાણીએ છીએ. આવી તકો હંમેશા મળતી રહી તેનો આનંદ છે. ભારતીય વિજ્ઞાભવનની બોસ્ટન શાખામાં પબ્લીક રીલેશનનો વિભાગ સંભાળવાનું કામ ૯૦ના દાયકામાં કર્યું. એ સમયમાં કવિ સંમેલનોનું આયોજન મારી ગમતી પ્રવૃતિ હતી. સ્વદેશથી મુલાકાતે આવેલા લેખકો અને કવિઓ પણ ક્યારેક એમાં જોડાય. આ સમેંલનો હ્રદયના તાર ઝંકૃત કરીને મને મારાં કોચલામાંથી બહાર આવવા પ્રેરે. ટેનેસી મુવ થયા પછી ગુજરાતી એસોશીએશન ઓફ મિડલ ટેનેસીમાં પ્રમુખ પદે રહીને ગુજરાતી સંસ્કૃતિને અહીં ધબકતી રાખવા કાર્યક્રમો યોજતી રહી. આ પ્રવૃતિઓ થકી મારાં ઘરમાં ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર સાચવી શકી. પરેશ રાવલના ગુજરાતી નાટકો, આસિત અને હેમા દેસાઈના ગુજરાતી ગીતો, નવરાત્રી મહોત્સવ વિગેરેને કારણે નરસિંહ અને મીરાં સુધીની સંસ્કૃતિ ઉજાગર થતી. ગુજરાતી વાંચતાં લખતાં શીખવવાના વર્ગો શની-રવિમાં મારાં ઘરે ચલાવીને માતૃભાષાને પ્રણામ કરી લેતી. પ્રમુખ પદ છોડ્યા પછી ટ્રસ્ટીપદે રહીને સેવા આપી. મંદિર દ્વારા યોજાયેલ મેળામાં ગુજરાતી પુસ્તકોનું બુથ મુકું. લગભગ ૫૦૦ જેટલા ગુજરાતી પુસ્તકોની લાયબ્રેરી ઘરમાં હતી. લાયબ્રેરીદિન ઉજવીને પછી અહીંના ગુજરાતીઓ માટે તે ખુલ્લી મૂકેલી. આપણી ભાષા અને સંસ્કૃતિનો વારસો બાળકોને મળે તે માટે ઘરમાં અને સંસ્થામાં પ્રયત્ન કરી શકી તે માટે સંસ્થાના સ્થાપકોની આભારી છું. હિંદી કવિસંમેલનો અને મંદિર થકી ચાલતા હિંદી સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મંદિરની કલ્ચર કમિટિમાં પણ જોડાઈ. ટેનેસી રાજ્યના ઈંગ્લીશ સમાચાર પત્ર ‘The Tennessean’ની મલ્ટિ કલ્ચરલ કમિટિમાં આમંત્રણ મળ્યું ત્યારે અહીંના સ્થાનિક લેખકોને મળી. એમની સાથેની વાતોથી અહીંના સમાજ વિષે ઘણું જાણવા મળ્યું. આ બધા અનુભવ પછી મેં ‘South Asian Heritage Group’ નામની સંસ્થા સ્થાપી જાણીતા ગાયક અને નાટ્યકાર પદ્મ શ્રી શેખરસેનને એમના હિંદી નાટક ‘કબીર’ માટે મેં આંમત્રણ આપ્યું. એક અઠવાડીયું તેઓ મારાં ઘરે સપરિવાર રહ્યા. એમના પત્ની શ્વેતાજી પણ સારા ગાયક છે. સવારના ચા-નાસ્તા પછી મારી વિનંતિને માન આપી શ્વેતાજીએ એક ગીત ગાયું અને મને મારી એક કવિતા સંભળાવવા મજબૂર કરી. શેખરજીને ગુજરાતી સમજાય તેથી મારી કવિતા સાંભળીને કહે, “તમે બંગાળમાં હોત તો આ ક્ષેત્રે ઘણા આગળ આવ્યાં હોત.” નજીકની હજારો એકરમાં પથરાયેલી ગુફાઓના વિસ્તારમાં અમે સાથે ફર્યા તે ક્ષણો ચિરંજીવી બની ગઈ.

    નવા ઘરમાં મુવ થયા પછી અમારી હાઉસીંગ સોસાયટીની કમિટિમાં જોડાઈને મેં સાંસ્કૃતિક કાયક્રમો યોજવાની જવાબદારી લીધી હતી. Dana Pitts નામની એક અમેરીકન કમિટિમાં પ્રમુખ સ્થાને હતી. તેની સાથે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિમાં રહેલી સામ્યતાની વાતોથી અમને બંનેને આનંદાઆશ્ચર્ય થાય. સામ્યતાથી જોડવાના બદલે આપણે મોટેભાગે ભિન્નતાની વાતોમાં જ અટવાયેલાં રહીએ છીએ. બીજી નવાઈની વાત એ છે કે આલ્બર્ટ આઈસ્ટાઈન ડાનાની માતા ના સગા કાકા થાય તેની જાણ મને ડાના પાસેથી નહીં પણ બીજા એક પડોશી જિમ પાસેથી એક વર્ષ પછી પડી હતી. જિમને હ્રદયની બિમારી હતી. તેના હાર્ટ ટ્રાંસપ્લાંટની સર્જરી થઈ ત્યારે ડાના અને બીજા પડોશીઓએ ફાળો એકઠો કરી મદદ કરી હતી. કંઈક આપવાની ભાવના બીજા પડોશીઓની જેમ મારાંમાં પણ જાગી. ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે જિમ વિશ્વના અનેક દેશોમાં પ્રવચન આપવા જતો. ભારતમાં પણ ઘણીવાર ગયેલો તેની વાતો કરે. એકવાર પિકનીક દરમ્યાન મારે એની સાથે ધર્મની ચર્ચા થઈ. ઈશુ ખ્રિસ્તના અને ગીતાના ઉપદેશના અર્થઘટન અને સંદેશમાં રહેલા સામ્ય અંગે જાણીને ધર્માંતરની જરૂર નથી એ સ્પષ્ટ થયું.

    પહેલા સગા એવા પડોશીઓએ જાતિ, ધર્મ અને સંસ્કૃતિના વાડાઓમાંથી બહાર નીકળી ‘વસુધૈવકુટુંબકમ’ની મારી ભાવનાને પોષી છે. એરીઝોના ત્રણ વર્ષ રહી એ દરમ્યાન મોર્નિગ વોકમાં રોજ મળતા ૮૫ વર્ષના મિ. આર્થર સાથે ટુંક સમયમાં જ ગાઢ પરિચય કેળવાયો. જેના ઘરનો દરવાજો ગમે તે સમયે ખખડાવી શકાય તેવા એરફોર્સના આ રીટાયર્ડ મેજરની પત્ની વિવિયન પગની તકલીફને કારણે ભાગ્યે જ ઘરની બહાર નીકળતી પણ ખુબ પ્રેમાળ. મારાં દોહિત્ર સાથે હું અવારનવાર એમને ત્યાં જતી. તેમણે લખેલ એક પુસ્તક વાંચીને પ્રમુખ ઓબામાએ ૨૦૧૬માં તેને પત્ર લખી ધન્યવાદ આપ્યા હતા. આ પુસ્તક તેણે મને હસ્તાક્ષર સાથે ભેટ આપ્યું. એમાં એમણે એનો કરૂણ ભૂતકાળ લખ્યો છે. જેકોબ આર્થરનો જન્મ અને ઉછેર અમેરીકામાં થયો હોવા છતાં બાર વર્ષની ઊંમરે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન તેને નાઝી માનીને જર્મનીની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યાં સાત વર્ષ તેણે યાતનાઓ ભોગવી. જગતના દરેક નાગરિકે જાણવા જેવા આ કિસ્સામાં તેના પિતા જર્મની હોવાથી અમેરીકન સરકારે તેને જર્મની(નાઝી) ગણી હદપાર કર્યો અને અને જર્મની લોકોએ તેને અમેરીકન ગણી તરછોડ્યો હતો. બાળપણના કરૂણ અનુભવો છતાં જન્મભૂમિને તેણે દિલથી ચાહી છે. તેને જેલમાંથી છોડાવનાર એક અમેરીકન દંપતિની સાર-સંભાળને કારણે ઉત્તમ નાગરિક બની શકનાર મિસ્ટર આર્થર જેકબની બાલ્કનીમાં અમેરીકન ફ્લેગ ફરફરતો મેં હંમેશાં જોયો છે.

    દુનિયાના જુદા જુદા ભાગમાંથી આવી વસેલા મારાં પડોશીઓમાં આરબ, મુસ્લિમ, આફ્રિકન, રશિયન, સ્વદેશના જુદા જુદા પ્રાંતમાંથી આવેલા લોકોની સાથે સાથે અહીંના સ્થાયી કાળા-ગોરાનો જીવનસંઘર્ષ પણ જોવા જાણવા મળે. એમના બાળકો માટે વેકેશનમાં ગણિતના વર્ગો ફ્રી ઓફ ચાર્જ ગોઠવી આનંદથી છલકાઈ જાઉં. કેટલાંક બાળકો સ્વેચ્છાએ મારી પાસે નિયમિત આવે. અમારી નાની મોટી સામાજિક મુંઝવણ બાજુમાં રહેતો જેરેમી નામનો પાદરી તરત ઉકેલી આપે. તેના બાળકો પણ અમને સીનીયર સીટીઝનને મદદ કરવા તત્પર રહે એવા સંસ્કારી છે. કેટલાંક ગુજરાતી પડોશીઓ સાથે દેશના સંસ્મરણો વાગોળીએ. અમારી આગળની શેરીમાં રહેતા બળદેવભાઈ એક જમાનામાં વડાપ્રધાન નરેંદ્ર મોદી સાથે કામ કરતાં. મોદી કચરો વાળે અને પોતે પોતુ કરે તે ગરીબાઈના દિવસોની વાતો કરે. જાણીતા ગાયક નીતિન મુકેશની ભાણેજ સુરભિના બાળકો મારી પાસે ગણિત શીખે સાથે બીજી ઘણી ય વાતો કરે. અમે બંને પરિવારે એક જ શેરીમાં સામસામે ઘર લીધું એ પહેલાંથી અમારો ગાઢો સંબંધ! પુત્રી સમાન સુરભી સાથે અલકમલકની વાતોમાં સમયનું ભાન ન રહે. ક્યારેક તક મળ્યે અનાયાસે ટી.વી, રેડિયો, સમાચાર પત્ર કે મેગેઝીનમાં ભારતીય સંસ્કૃતિનો ધ્વજ લહેરાવવાની કોશિષ કરતી રહું. થોડોઘણા બચેલા સમયમાં મારાં બ્લોગ axaypatra.wordpress.com પર લાગણીઓને રમતી મૂકયા કરૂં. શરૂઆતના દિવસોના ડર અને અસલામતીની જગ્યાએ હવે અમે પ્રેમ અને સલામતી અનુભવીએ છીએ.

    સાહિત્ય ક્ષેત્રે કંઈક નવું કરવાની ઈચ્છાથી આ વર્ષે(૨૦૨૨) એક કામ હાથમાં લીધું છે. સ્વદેશ છોડી પરદેશની અજાણી ભૂમિમાં કાયમી વસવાટનું સાહસ ખેડનારા સાહસિકોની જીવનયાત્રાના અનુભવોની તેમના શબ્દોમાં લખેલ કૃતિઓનું સંકલન પુસ્તકરૂપે કરવું. પરદેશની ધરતી પર લખાયેલ સાહિત્યમાં રહેલી સમાનતા અને ભિન્નતા પર સંશોધન કાર્ય કરવાની અભિલાષા પણ મનમાં છે. મને આશા છે કે આ પ્રકારના સાહિત્ય પ્રકાર માટે ડાયાસ્પોરાને બદલે સર્વ સ્વીકાર્ય વધારે સારૂં શિર્ષક આપી શકાશે.

    ઘરથી દૂર બે ઘર

    ૧૯૯૪માં અમારી મેડિકલ લેબોરેટરી બીજી લેબોરેટરી સાથે મર્જ થઈ ત્યારે સીનીયોરીટી પ્રમાણે સૌથી પહેલી મને છૂટી કરી. બોસની ઓફિસમાંથી સમાચાર લઈને હું બહાર નીકળી ત્યારે મારાં મોઢા પરની પ્રસન્નતા સહકાર્યકરો માટે આશ્ચર્યની વાત હતી. હું રડી પડીશ તેમ તેઓએ માન્યું હતું. એક મિત્રએ નવાઈથી પૂછયુ, “નોકરી ગઈ તેનું તને દુઃખ નથી?” મેં કહ્યું, “હવે તો મારી પાસે અનુભવ છે. ભાષા પર પણ પકડ વધી છે અને નવી કાર લઈ લીધી છે. ચિંતા શા માટે? મને ખુશી છે કે બીજી નોકરી શોધતા પહેલાં હું ઈંડીયા જઈને મારાં માબાપને મળી શકીશ.” વતનમાં ગઈ તો બા એ ચિંતાથી પૂછ્યુ, “નોકરી જલ્દી નહીં મળે તો શું કરીશ?” અનુભવને કારણે હવે નોકરી મળે જશે તે વિશ્વાસ હોવા છતાં મેં મારી બાને ચિંતામુક્ત કરવા અનએમપ્લોયમેંટની વાત કરી. સાંભળીને તેના મુખે ઉદગાર સરી પડ્યા, “અરરર…સરકારના પૈસા મફતમાં લઈએ એ તો ખોટું કહેવાય. એ તો અશક્ત લોકો માટે હોય.” અમેરીકા પાછી ફરી ત્યારે વોઇસ મેલમાં મર્જ થયેલી લેબોરેટરીમાંથી સંદેશ હતો. પગારવધારા સાથે મને તે જ જગ્યાએ ફરી નોકરી મળી ગઈ હતી.

    ૧૯૯૭માં ઈંડીયા જઈ એકતાના લગ્ન પતાવી ત્યાંથી ટેનેસી આવ્યા. ફરી એકડે એકથી શરૂઆત કરી. લગ્ન થકી બે પરિવારોની જુદી સંસ્કૃતિ અને પરદેશાગમનથી બે દેશોની જુદી સંસ્કૃતિ પછી હવે બે રાજ્યોની અલગ સંસ્કૃતિનો પરિચય થવાનો હતો. ટેનેસી એગ્રીકલ્ચરલ રાજ્ય છે જ્યારે મેસેચ્યૂસેટ્સ ઈંડસ્ટ્રીયલ. સૂરતી ગુજરાતીની માફક અહીંની અંગ્રેજી બોલી જુદી. બંનેની જીવનરીતિમાં દેખીતો વિરોધાભાસ. ટેનેસી સાઉથમાં અને મેસેચ્યૂસેટ્સ નોર્થમાં તેથી હવામાનમાં પણ ઘણો ફર્ક. ટેનેસીમાં ચક્રવાત અને ઝંઝાવાત અવારનવાર વિઝાંય. મારાં જીવનમાં પણ ઝંઝાવાત આવ્યો હતો. પ્રતાપે જોબ છોડી ધંધામાં ઝંપલાવ્યું હતું. આ નવા સાહસ માટે ખરીદેલો કન્વેનીયંટ સ્ટોર ખોટમાં હતો. અમેરીકન રેડક્રોસમાં મને નોકરી મળી તેમાં ઘર ચાલતું હતું પણ આર્થિક ભીંસ વધી ગઈ. ફરી મુસીબતોના એ જ ચક્રમાં આવી ફસાયા. કામની ભાગદોડ વધી ગઈ.

    અદિતિ ડાઉનટાઉનમાં આવેલી મેગ્નેટ સ્કૂલમાં ભણતી હોવાથી સ્કૂલએ લેવા મૂકવામાં રોજ બે કલાક મારે આપવા પડતા. અવનિની સગાઈ કરીને જે છોકરાને અમે બહુ મોટી આશાએ અહીં લઈ લાવેલ તેણે અમારાં સમય અને પૈસા વાપરી બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા. અવનિ ફાર્મસી બોર્ડની પરીક્ષાની તૈયારીમાં પડી હતી. મારાં બીજા ત્રણ ભાઈબહેનો પણ ઈંડીયાથી અહીં સેટલ થવાની સ્ટ્રગલમાં હતા. બધાને મારી પાસે મદદની આશા હતી અને બધામાં વહેંચાયેલી હું કોઈને ન્યાય આપી શક્તી નહીં. મારી દીકરીઓને પણ નહીં. પ્રતાપ આખો દિવસ સ્ટોર પર હોય એટલે રસોડામાં પણ મદદ નહીં. મેનોપોઝનો પિરિયડ એટલે મગજની નસો તણાય. મારી તકલીફ કોઈ સમજી શક્તું નહીં. મને થયું કે બસ હવે હાર્ટએટેક નજીકમાં જ છે.

    એ સમયે મારી બા ઈંડીયાથી આવ્યાં અને સૌ પ્રથમ તેમણે મારાં ડાયેટમાં ફેરફાર કર્યો. લેફ્ટઓવર બિલકુલ નહીં. રસોઈમાં તેમની મદદ એટલે સમયની ખેંચ ઓછી થઈ. પ્રતાપની મહેનતથી સ્ટોરમાં આવકનો પ્રશ્ન પણ સારી રીતે થયો હલ થયો. અમેરીકા આવ્યાના દસ વર્ષ બાદ ઘરનું ઘર લીધું. ઘરમાં તોફાન પછીની શાંતિ છવાઈ ગઈ. અદિતિએ ઉચ્ચ અભ્યાસ માટે ઘર છોડ્યું. અવનીએ બોર્ડની પરિક્ષા પાસ કરી જોબની નજીક ઘર લઈ ત્યાં રહેવા ગઈ અને ભાઈબહેનોએ પોતાનું સુકાન સંભાળી લીધું. બા દેશની આંબાવાડીએ પાછાં ગયાં. ઘરમાં હું એકલી પડી અને ડીપ્રેશનનો ભોગ બની ગઈ. જીવનમાં રસ રહ્યો નહીં. પુષ્કળ સમય હોવા છતાં મારી લેખન યાત્રા પણ અટકી ગઈ.

    આખો દિવસ સુડોકુ પઝલ અને ટી.વીના પડદા સામે પસાર થઈ જતો. કોઈ કામ ગમે નહીં અને ક્યાંય જવું પણ ગમે નહીં. કોઈના ફોન પણ રીટર્ન કરવા ગમે નહીં. કંટાળીને કાયમ માટે ઈંડીયા જવાનું નક્કી કર્યું. ત્યાં સેટ થયા પછી અહીં બધુ સંકેલવું એમ વિચારી પ્રતાપે મને એકલીને જવા દીધી. દેશમાં પુનઃવસવાટ ધાર્યા કરતાં વધારે અઘરો લાગ્યો. ઝડપી પરિવર્તનની અસર નીચે ઈંડીયામાં બધું જ બદલાઈ ગયું હતું, લોકોનું માનસ પણ અકળ લાગ્યું. મારાં જીગરી મિત્રો પણ “અહીં હવે તને ન ફાવે” કહી મારાં વિચાર નબળો પાડી દેતા હતા. મારી બા કહે, ”તારા બાળકોથી બહુ દૂર રહેવાનું તને નહીં ગમે.” મનને ક્યાંય ચેન ન હતું. નિરાશા વધતી જતી હતી. એકવાર રડીને મેં બા ને પૂછ્યું. “હવે જીવવું કોના માટે? જીવનનો કોઈ અર્થ નથી” ઝંઝાવાતોમાંથી પસાર થયેલી મારી જીવનનાવ જાણે કે દિશાવિહીન થઈ ગઈ હતી.

    દીકરીઓ પગભર થઈ ગઈ એટલે જીવનનું ધ્યેય જાણે કે પૂરૂં થઈ ગયું હતું. નિરાશાના અંધકારમાં કાગળ કલમ ખોવાઈ ગયાં હતાં. ક્યારેક દરિયાના સાંનિધ્યમાં, ક્યારેક આંબાવાડીને છાંયડે તો ક્યારેક રાજકોટની રોશની વચ્ચે આંટાફેરામાં ચાર મહીના નીકળી ગયા. પાછુ અમેરીકા જવું ન હતું અને અહીં રહેવું ન હતું. અમારી આંબાવાડીમાં ય ગોઠ્યું નહીં. સમુદ્રકિનારે આવેલા જૂના ઘરમાં પણ બાળકોના કિલ્લોલ વગર સૂનું લાગ્યું.

    સ્વદેશમાં હું પરદેશી હતી અને બાળકો પરદેશ હતા. બાળકો પાસે પાછાં ફરવાનો વિચાર બાને જણાવ્યો એટલે કહે, “આપણે જે કરીએ છીએ તે કોઈ માટે નહીં આપણા માટે જ કરીએ છીએ. આપણુ જીવન આપણે આપણા માટે જીવવાનું છે અને આનંદથી જીવવાનું છે. તું દુઃખી હોય તો બીજાને કેવી રીતે સુખ આપી શકે? ખુશીથી તું ત્યાં જાય તો જ અર્થ સરે. અહીં ઈંડીયામાં હું છું ત્યાં સુધી તને રહેવું ગમશે પછી નહીં ગમે.” ‘તારૂં હવે અહીંયા કામ નથી’ કહી જીગરી મિત્રોએ પણ સૂર પૂર્યો. રાત-દિવસ બાળકો અને પતિને કેંદ્રમાં રાખીને જીવન ગુજારતી સ્ત્રીને પોતાના માટે કેમ જીવવું તે ખબર ન હતી. એ વગર હવે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો. બાળકોને હવે પોતાની અલગ દુનિયા હતી. વર્કોહોલિક પતિ જોબ પર હોય. અત્યાર સુધીના બીજા બધા પડકાર કરતાં આ પડકાર મોટો લાગ્યો.

    USA પાછાં આવતા પહેલાં એક દિવસ અચાનક જ મિત્ર નીલમ દોશીનો ફોન આવ્યો. ૩૫ વર્ષ બાદ ફરી અમારી મૈત્રીનો દોર સંધાયો. મિત્ર સરલા પાસેથી અમને એકબીજાના નંબર મળ્યા હતા. લત્તા હિરાણીનો ફોન પણ એ દિવસે જ આવ્યો. અમે ત્રણેએ અમદાવાદ નીલમને ઘરે મળવાનું નક્કી કર્યું. રાત્રે હું ત્યાં જ રોકાઈ ગઈ. “ચાલ આપણે લખવા બેસીએ” કહીને નીલમે કાગળ પેન આપ્યા અને કોલેજના દિવસોની યાદ ચેતનવંતી બનીને ઉમંગ જગાડી ગઈ. પછી તો નીલમ અને હું અમેરીકા અને ઈંડીયામાં અવાર નવાર મળતાં રહ્યાં. મને કોમપ્યૂટર પર લખતી પણ નીલમે જ કરી. વર્ડપ્રેસ પર અક્ષયપાત્ર નામનો બ્લોગ પણ શરૂ કરાવ્યો. ઉદાસીના વાદળો વિખરાવાની શરૂઆત થઈ. દૂધ અને દૂધની બનાવટો ભોજનમાંથી દૂર કર્યા પછી મનમાં વધારે તાજગીનો અનુભવ થવા લાગ્યો. એકવાર એક અમેરીકન ડોકટરના સેમીનારમાં ગઈ હતી. ત્યાં વીગન ડાયેટની વાત સાંભળી અખતરો કરવા વિચાર્યું. ત્રણ દિવસમાં જ ફાયદો જણાયો તેથી ત્રણ વર્ષ સુધી બકરીના દૂધ સિવાય કોઈ ડેરી પ્રોડક્ટ નહોતી લીધી. ડીપ્રેશન દૂર કરવામાં ડાયેટનો ખુબ મોટો ફાળો અનુભવથી સ્વીકારી ડાયેટ પર વધુ ધ્યાન આપવા માંડ્યું. મારી બા એ સૂચવેલ ડાયેટે દવાનું કામ કર્યું.

    આ અરસામાં વિશ્વ સાહિત્યમાં રસ ધરાવતી મેરીયન નામની એક ગોરી અમેરીકન રેડિયો હોસ્ટ સાથે મિત્રતા થઈ. સમાન રસ રૂચિને કારણે અમારી મૈત્રી ગાઢ થઈ. ગાંધીવિચાર ધારા એના આચરણમાં જોવા મળે. ગાંધી સાહિત્ય જેટલું એના ઘરની લાયબ્રેરીમાંથી મળે તેટલું પબ્લિક લાયબ્રેરીમાંથી શોધવાનું મુશ્કેલ! બધી જ ભાષાઓ માટેનો તેનો પ્રેમ ગુજરાતી સુધી વિસ્તરે. મને મળે ત્યારે પહેલું “કેમ છો?” પૂછે અને છૂટા પડીએ ત્યારે “આવજો” કહે. મારૂં લખેલ ગુજરાતી કાવ્ય વંચાવે અને પછી એમાં લખાયેલા શબ્દોના અર્થે પૂછે. મેરીયન એટલે પ્રસન્નતાનું ઝરણું! અમારી મુલાકાતો વધતી ગઈ. એની સાથેની સાહિત્યની વાતોથી મારી પ્રસન્નતા પણ વધતી ગઈ. અમેરીકામાં મારાં મૂળિયા ઊંડા ઊતરી ચૂક્યા હતા તેની પ્રતીતિ થઈ. અમે રહેતાં હતાં તે ઘર કાઢી નાખ્યું. એકતાના બે પુત્રોની નજીક રહેવા તે વિસ્તારમાં પ્લોટ લીધો. ભૂમિપૂજન કરી નવું ઘર બંધાવ્યું. એક બાજુ ઈગલ અને બીજી બાજુ સ્વતંત્રતાની દેવી સાથેનો ચાંદીનો સિક્કો પાયામાં મૂકયો. ‘સબ ભૂમિ ગોપાલકી’ ના મંત્ર સાથે વંદન કર્યા. એક સુંદર ઘર બાંધીને ફરી આનંદયાત્રા શરૂ કરી.

    અદિતિને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો પછી તેણે ટેનેસીમાં ઘર લીધું. તેના ઘરની નજીક અમે બીજું ઘર બાંધ્યું. એ જ સમયમાં કોરોનાએ દેશ વિદેશના સીમાડા ભૂંસી નાખ્યા. પિતાની આંબાવાડીમાં કળા કરતાં મોરને નજરે જોવાનું whats appથી શક્ય બન્યું. જન્મભૂમિ પાસેના અરબી સમુદ્રના મોજાંઓ ઝૂમ પર જોઈને બાળપણ ફરી માણવા મળે છે. વતનઝૂરાપો હવે નથી રહ્યો.

    હવે આ મારી ભૂમિ છે એવી ભાવના અમેરીકામાં વર્ષોના વસવાટ પછી સ્થિર થઈ. એક દિવસ ગ્રોસરીની કાર્ટ સાથે પાર્કિગ લોટમાં હું મારી કાર તરફ હું જતી હતી. તબિયત તે દિવસે નરમ હોવાથી રોડ ક્રોસ કરતાં મને વાર થઈ. ‘Make America great again’ સૂત્ર સાથેની લાલ ટોપી પહેરેલ એક શખ્સને આથી તેની કાર જરા વધારે વાર રોકવી પડી. ગુસ્સામાં તેણે મોટેથી બૂમ પાડી, ‘Go back to your country’ એક અજાણ્યા અમેરીકન નાગરીકને મન હું હજુ પરદેશી છું. બીજી બાજુ ભારતમાં રહેતા મિત્રોને મન પણ હું હવે પરદેશી છું. મારૂં મન કહે છે કે હું દ્વિદેશી છું. ગીરની સીમથી દૂર બે ઘરની દુનિયા વિસ્તરતી જાય છે અને મનપંખી અસીમમાં ઊડવા પાંખો પસારી પ્રયાણ આરંભે છે.


    સમાપ્ત


    હવે પછી ડૉ.ઈન્દુ રમેશ શાહ ની વિટંબણા અને પરિતૃપ્તિ

  • નિવેદિત અસ્તિત્વ : ભગિની નિવેદિતા [૨]

    દીઠે અડસઠ જાત્ર

    દર્શના ધોળકિયા

    ગતાંકમાં આપણે નાર્ગરેટ નોબલનું ભારતમાં અગમન થતું જોયું.

    હવે આગળ...


    જાન્યુઆરીમાં ભારત આવેલાં માર્ગરેટ માટે માર્ચ મહિનો શુકનિયાળ નીવડ્યો. અનુક્રમે અગિયારમી, સત્તરમી અને પચ્ચીસમી માર્ચે માર્ગરેટની હાલકડોલક થતી નૌકાને કિનારો મળ્યો. અગિયારમી માર્ચે સ્વામીજીએ કલકત્તાના સ્ટાર થિયેટર ખાતે રામકૃષ્ણ મિશનની વાર્ષિક સભામાં એકઠા થયેલા ભદ લોકોને માર્ગરેટનો પરિચય કરા વતાં તેમને ઇંગ્લેન્ડે આપેલી માનવભેટ તરીકે ઓળખાવ્યાં. આ દિવસે માર્ગરેટે ભારતની આધ્યાત્મિકતાનો ઇંગ્લેન્ડ પર પડેલો પ્રભાવ સૌની વચ્ચે જણાવી પોતાનો ભારત આવવાનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો.

    સત્તરમી માર્ચે સ્વામીજીના ગૂરૂશ્રી  રામકૃષ્ણ પરમહંસનાં આધ્યાત્મિક સાથીદાર મા શારમણિદેવી સાથે માર્ગરેટનું મિલન ગોઠવાયું. ચુસ્ત સનાતની હોવા છતાં શારદાદેવી ભારે લાગણી અને ગૌરવથી માર્ગરેટનું સન્‍માન કરીને તેમની સાથે ભોજન પણ સીધું. આ ઘટનાથી માર્ગરેટે ધન્યતા અનુભવી. માતાજીએ માર્ગરેટના કરેલા સવીકાર પછી જ વિવેકાનંદ માર્ગરેટનું શિષ્યત્વ સ્વીકાર્યું. આમ માર્ગરેટની પ્રથમ દીક્ષા મા શારદાદેવી પાસે લેવરાવીને વિવેકાનંદે ઔચિત્ય જાળવ્યું.

    શારદાદેવીના આશીર્વાદ મળતાં માર્ગરેટનું રામકૃષ્ણ મઠમાં નિશ્ચિત સ્થાન થયું. તે પછી વિવેકાનંદે તેમને બ્રહ્મચર્યની દીક્ષા આપવાનું ઠરાવ્યું જે માટે ૨૫મી માર્ચનો દિવસ નક્કી થયો. એક હિન્દુ સંન્યાસી પાસે ઈસાઈ ધર્મની આ શિષ્યાએ તે ક્ષણે પોતાનો ધર્મ પણ ગુરુચરણે ધરીને કૃતાર્થતા અનુભવી. શિષ્યાને આશીર્વાદ આપતાં સ્વામીજીએ શિવ ને ગૌતમ બુદ્ધના આશીર્વાદ લેવડાવતાં જણાવ્યું ઃ ‘જાઓ અને બુદ્ધ તરીકેનું દર્શન પામતાં પહેલાં જે વ્યક્તિએ પાંચસો વખત જન્મ લઈને બીજા લોકો માટે જીવન અર્પણ કર્યું તેને અનુસરો.’ ગુરુ પાસેથી દીક્ષા પામીને માર્ગરેટ “નિવેદિતા” એવું સાર્થક નામ પામ્યાં. તેમના જન્મ સમયે તેમનાં માતાએ સેવેલી અભિલાષા, દૂર દેશમાં, અન્ય ધર્મના મહાન જ્ઞાતા પાસેથી આ રીતે પૂરી થઈ તે માટે નિવેદિતાએ પોતાનો જન્મ સફળ માન્યો. માર્ગરેટમાંથી ‘નિવેદિતા’ બનવાની ક્ષણ એક રીતે જોતાં ઘણી નાજુક હતી.

    ભારતીય અધ્યાત્મ જગતથી ખેંચાયેલી અન્ય વિદેશી મહિલાઓમાંથી*[1] કોઈને ભાગે પોતાનો ધર્મ તજવાનો આવ્યો નહોતો. હિંદુ ધર્મને એ મહિલાઓએ માન આપ્યું એ વાત જુદી હતી. ગીતાકારે જેને સ્વધર્મ-અર્થાત્‌ પાલન કરવા યોગ્ય, અથવા તો જેનું પાલન અનિવાર્ય બની જાય એવો ધર્મ- કહ્યો, એ અર્થમાં નિવેદિતાને માટે હિંદુ ધર્મ સ્વધર્મ બની રહ્યો. પોતાનો ધર્મ એમણે કંઈ એમને એમ, આવેશને વશ થઈન છોડ્યો નહોતો. હિંદુ ધર્મે તેમણે જે ઇચ્છવું હતું તે તેમને સંપડાવ્યું. આથી નિવેદિતાનું નિવેદન શક્ય બન્યું, છતાં પણ આ વાત નાનીસૂની તો નહોતી જ. તેમના મહાન ગુરુએ તેમની પાસે જે ગુરુદક્ષિણા માગી તે ધણી આકરી હતી. વિવેકાનંદે દીક્ષા ગ્રહણ કરતાં નિવેદિતાને કહેલું : ‘તમારે તમારા વિચારો, જરૂરિયાતો, ભાવનાઓ અને સંસ્કારોને હિન્દુ સ્વરૂપ આપી દેવાના પુરુષાર્થમાં લાગી રહેવાનું છે. તમારૂ આંતર તેમ જ બાહ્ય જીવન એક ચુરત બ્રાહ્મણ બ્રહ્મચારિણીના જીવન જેવું બની રહેવું જોઈએ. એ માટે પૂરતી ઇચ્છા હશે તો એવું કાર્ય કરવાની પદ્ધતિ તમને આપોઆપ સૂઝશે. એ માટે તમારે તમારો ભૂતકાળ ભૂલી જવાનો છે અને બીજા લોકો પણ એને ભૂલી જાય એવું કરવાનું છે. તમને એની સ્મૃતિ પણ રહેવી ન જોઈએ. આ વાક્યો કોઈને પણ વિચાર કરતા કરી મૂકે તેવાં છે. ખરેખર કોઈ મનુષ્ય આ રીતે કરી શકે ? કરી શકે તો તેમ કરાવવું યોગ્ય પણ ખરું ? એમાંય જ્યારે વિવેકાનંદ જેવી વ્યક્તિ આવી માગણી કરે, બલકે આદેશ આપે એમાં ઔચિત્ય જળવાય છે ? – આવા પ્રશ્નો જાગે. પરંતુ વિવેકાનંદ ને નિવેદિતાના સંબંધને જોતાં એવું જણાય છે કે ગુરુએ આવી માગણી કર્યા વિના ને શિષ્યાએ એને સ્વીકાર્યા વિના ચાલે તેમ નહોતું. જે દેશમાં તેઓ આવ્યાં હતાં તે દેશની નાડ તેમણે પારખવાની હતી; એ દેશના લોકોમાં ઓગળવાનું હતું; તેના જેવા, તેનામાંના બનવાનું હતું. તેમને જે ઈશ્વરને ઓળખવો હતો તેનું બીજું નામ લોકસેવા, દરિદ્રનારાયણની આરાધના હતી. જો તેઓ આ કામ ન કરી શકે તો પણ તેના ગુરુએ કોઈ બંધન તેમના પર મૂક્યું ન હતું. આથી હવે જે કંઈ કરવાનું હતું તેમાં નિવેદિતાની જ પસંદગી હતી. કોઈ સિદ્ધાંત, કોઈ કાર્ય તેમના પર લદાયું નહોતું. નિવેદિતાએ પણ સર્વ કંઈ છોડયું તે ગુરુ પ્રત્યેની શ્રદ્ધાને કારણે છોડયું એમ કહેવા કરતાં એમને પોતાને, આ પ્રકારના સંન્યાસથી જ સત્યનું દર્શન થશે એવી પ્રતીતિને લઈને છોડયું.

    માર્ગરેટ પોતે એક વિદુષી સ્ત્રી હતાં, અંગ્રેજ હોવાને લીધે અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતાં હતાં; વ્યવસાયે અધ્યાપક હતાં, પાદરીની પુત્રી હતાં; અનેક બૌદ્ધિકોની વચ્ચે વસેલાં હતાં. ઢળી ન પડવાની પ્રકૃતિ ધરાવતાં હતાં. આથી વિવેકાનંદે તેમના પર કોઈ જાદુ કે કામણ કર્યુ હતું એવું નહોતું. વિવેકાનંદનું પૂરું પરીક્ષણ – નિરીક્ષણ કરીને તેમનુ માર્ગદર્શન યોગ્ય લાગતાં નિવેદિતાએ ભારત આવવાનો, સેવાનું વ્રત ધારણ કરવાનો, હિંદુ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય લીધો. તેમનામાં તેમના ગુરુ જેવી જ વિચારનિષ્ઠા હતી એવું તેમના વ્યક્તિત્વને જોતાં સ્પષ્ટ થાય છે.

    નિવેદિતાને પોતાની પસંદગી પર ને પોતે ભરેલાં પગલાં પર કેટલો વિશ્વાસ આ વિવેકાનંદ સાથે તેમણે કરેલા ઉત્તર ભારતના પ્રવાસ દરમિયાનની તેની નોંધોમાંથી મળે છે. તેઓ લખે છે : “જે મનોદશામાં નવા ધર્મનું નિર્માણ થાય છે તેની અને જે વિભૂતિઓ એવા ધર્મની પ્રેરણાનું સિંચન કરે છે તેઓની અમને (બીજી બે ગુરુ બહેનો જોસેફાઈન, બુલ સમેત) કંઈક ઝાંખી થઈ છે; કારણ કે અમે એક એવી વિભૂતિનાં અંતેવાસી બની રહ્યાં છીએ જેણે તમામ મનુષ્યોને પોતા તરફ ખેંચી લીધા; એમણે સૌની વાત સાંભળી; એમણે કોઈનો અનાદર ન કર્યો …જેની હાજરીમાં કોઈ સંકુચિતતા ટકી ન શક્તી; એવી ત્યાગવૃતિ જોઈ છે કે જે જુલમ પ્રત્યેની કોઇ ઘૃણાથી   અને એનો ભોગ બનેલા પ્રત્યેની અનુકપાથી જીવન સ મર્પણ કરતાં અચકાય નહીં; અને એવો પ્રેમ અનુભવ્યો છે કે જે પોતાની સમક્ષ આવી રહેલ વેદના અને મૃત્યુનું સ્વાગત કરતાં પણ ડરે નહીં.’ નિવેદિતાના સન્યાસની પાછળ આ રહસ્ય છુપાયેલું હતું.

    નિવેદિતાએ જે દર્શન મેળવ્યું હતું તે ઘણું મજબૂત હોવા છતાં દીક્ષાના પ્રારંભે તેઓ ક્યારેક ડગી જતાં. એક વાર વિવેકાનંદે તેમને તેમનું વતન કયું એ અંગે પૂછતાં તેમણે “ઇંગ્લૅન્ડ” એવો ઉત્તર આપેલો ને એ દેશના રાષ્ટ્રધ્વજ પ્રત્યે પોતાની વફાદારી સૂચવેલી. આ ઉત્તરથી સ્વામીજી શિષ્યાની નિષ્ઠામાં રહેલી કચાશ પારખી ગયા. તે સમયે તો મૌન રહેવું જ તેમણે ઉચિત ધારેલું. અલમોડામાં ગુરુ સાથે નિવેદિતાએ ગાળેલો કેટલોક સમય સંઘર્ષનો બની રહ્યો. નિવેદિતાનું અંગ્રેજ લોહી બીજી પ્રજાની પ્રશંસાથી ઊકળી ઊઠતું. ત્યારે એક વાર નારાજ થઈને વિવેકાનંદે તેમને કહેલું : “ખરેખર તમારા જેવી દેશભક્તિ તો પાપ છે. હું ફક્ત એટલું જ ઇચ્છું કે તમારે એ જોવું જોઈએ કે મોટા ભાગના લોકોનાં કાર્ય સ્વાર્થની અભિવ્યક્તિ કરતાં હોય છે અને તમારે એ વિચારનો સખત વિરોધ કરવો જોઈએ કે એક જાતિ જ ફક્ત દેવદૂતોથી ભરેલી છે. આ પ્રકારનું નિશ્ચિત થયેલું અજ્ઞાન દુષ્ટતા જ છે.’

    વિવેકાનંદના આ કઠોર જણાતા તર્કે નિવેદિતાના અસ્તિત્વને મૂળમાંથી હચમચાવી નાખ્યું. એક બાજુ તેમને ગુરુની કઠોરતા દેખાતી તો બીજી બાજુથી એમાં પોતાની ચીડ ને અવજ્ઞા દાખલ થતાં જણાયાં. તેમના આ દુ:ખી દિવસોમાં ગુરુએ તેમને સહેજ પણ ટેકો ન આપ્યો. વિવેકાનંદે તેમને અગાઉ પગ પર ઊભા રહેવાનું જણાવ્યું તેનો અર્થ આ હતો તે પછીથી નિવેદિતાને સમજાયું. ધીમે ધીમે પોતાની રીતે ને મિત્રોની મદદથી શાંત થયેલાં નિવેદિતાને સમજાયું કે ગુરુનું કામ પોતાની જગાએ પરમાત્માને સ્થાપવાનું છે. એ માટે તેઓ બધા સંબંધોનો નાશ કરવા ઇચ્છે છે – ગુરુશિષ્ય સંબંધનો પણ. તેથી આ પ્રકારની યુક્તિઓ ગુરુને કરવી પડતી હોય છે. આ યુક્તિઓ બહારથી કઠોર લાગવા છતાં આખરે તો સત્ય તરફ દોરી જતી હોય છે એવું સમજાતાં પોતે ચુકવવાની ગુરુદક્ષિણા નિવેદિતા ચૂકવી શક્યાં. પોતે સ્વીકારેલા સંન્‍્યાસની કસોટીમાં આમ, નિવેદિતા પાર ઊતર્યા.

    વિવેકાનંદે જુદી જુદી રીતે, પ્રથમ તો નિવેદિતાનાં આંતરજગતની સફાઈ કરી.  આ કામ પૂરું થયા પછી તેમને સેવાયજ્ઞમાં જોડ્યાં. શિષ્યાનું ધડતર કરવા પાછળ ગુરુએ પૂરો સમય આપ્યો. ગુરુ સાથેનું વૈચારિક અનુસંધાન જોડાયા પછી કલકત્તામાં કન્યાશાળા ખોલવાનો વિચાર ગુરૂને જણાવ્યો. વિવેકાનંદે શિષ્યાને એ માટે શુભેચ્છા પાઠવી. આ સમયગાળામાં કાશ્મીરના મહારાજ બહેનોના મઠની શ્થાપના કરવા માગતા હત અપણ  અંગ્રેજક રસિડેન્ટે તેમને મંજૂરી ન આપતાં એ યોજના અમલમાં મુકાઈ શકી નહિ. આ બનાબે નિવેદિતાના મનમાં અગ્રેજો પ્રત્યે કડવાશનાં બી વાવ્યાં. ગુરુની અંગ્રેજો પ્રત્યેની અરૂચિ હવે તેમને સમજાઇ.

    શાળાનું કાર્ય હાથમાં લેવા માટે નિવેદિતા કલકત્તા આવ્યાં. કલકત્તામાં તેમને નિવાસથી માંડીને અનેક પ્રકારની મુકકેલ્રીઆનો સામનો કરવાનો આવ્યો. તેમણે મા શારદાદેવી સાથે રહેવાનું ગોઠવ્યું જ્યાં એક જ આઠ-દશ સ્ત્રીઓ રહેવાનું, એક જ ચટાઈ પર સુવાનું આવ્યું. ભૌતિક સગવડનું કોઇ સાધન ન મળે. પ્રભાતે ઊઠવાનું. સ્નાન, સંધ્યા, પૃજા, ઘાર્મિક પુસ્તકોનું પારાયણ કરવાનું. આ બધું કરેવાની તેમણે સ્વેચ્છાએ તાલીમ લીધી. ઘોળી ચામડીને તેમણે થોડું વેઠવાનું આવ્યું. તેમની કામવાળી ચુસ્ત સનાતની. શરૂ આતમાં તેનો વ્યવહાર ખૂબ અતડો રહ્યો, પશ નિવેદિતાના પ્રેમથી તે જિતાઈ ગઈ.

    ઈ.સ. ૧૮૯૮ની ચૌદમી નવેમ્બરે નિવેદિતાએ શરૂ કરવા ઘારેલી શાળા શારદાદેવીને હસ્તે ખુલ્લી મુકાઈ. આ શાળામાં લેખન, વાચન ઉપરાંત સૌવણ, ચિત્રકામ, માટીકામ જેવા જીવનોપયોગી વિષયો પણ શીખવવામાં આવતા .

    પોતાની શાળાને સારી રીતે ચલાવવા માટે નિવેદિતાને ધનની આવશ્યક્તા જણાતાં ઈ.સ. ૧૮૯૯માં સ્વામીજીની સાથે તેમશે લંડન ભણી પ્રયાણ કર્યુ. ગુરુની સહોપસ્થિતિથી આ સમુદ્રયત્રા તેમને માટે તીર્થયાત્રા બની રટી. આ સમયે ગુરુએ તેમની સાથે કરેલા વાર્તાલાપો લિપિબદ્ધ કરીને નિવેદિતાએ ભારતની બહુ મોટી સેવા કરી. લંડનથી અમેરિકા ગયેલાં નિવેદિતાએ ન્યૂયૉર્ક, શિકાગો, ડેટ્રોઈટ, બોસ્ટન જેવી જગ્યાઓએ વ્યાખ્યાનો આપીને ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું. ન્યૂયોર્ડમાં “રામકૃષ્ણ સહાયતા સમિતિ’ની સ્થાપના કરી. આ પ્રયત્નોમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ વિવેકાનંદનું માર્ગદર્શન તેમને હંમેશાં સાથ ને હૂંફ આપતું રહયું. અમેરિકાથી ફ્રાન્સ, ફરી લંડન, માન્ચેસ્ટર જઈને તેમશે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કર્યો.

    નિવેદિતાને ભારત માટે વાયુવેગે કામ કરતાં જોઈને લંડનના એક સંવાદદાતાએ તેમના વિશે લખ્યું : “ભારતના પક્ષમાં એક ઉત્સાહી પ્રવકતાનો આવિર્ભાવ થયો છે – જેવો પ્રાચીન કાળમાં સમર્થકોનો થતો હતો. ભારતની આ સમર્થક વ્યક્તિ કોઈ દૂર દેશમાંથી નહીં, અપરિચિત લોકોમાંથી પણ નહીં કે પુડુષવર્ગમાંથી પણ પ્રગટી નથી.  આ સમર્થક એક મહિલા છે, જેનો સંબંધ ભારત પર શાસન કરનારી જાતિથી છે. અસાધારણ યોગ્યતાસંપત્ન આ સ્ત્રીએ ભારતની સ્ત્રીઓ માટે પોતાને સમર્પિત મતા સંકલ્પ કર્યો છે. આ મહિલાનું નામ માર્ગરેટ નોબલ છે. એ સ્ત્રી ભારતમાં માત્ર અઢાર જ મહિના રહી હોવા છતાં ભારતમાં રહેતા લોકો કરતાં પણ ભારતના યથાર્થ જીવન વિશે વધારે જ્ઞાન ધરાવે છે.’

    સ્વાભાવિક રીતે જ, અંગ્રેજ પ્રજા નિવેદિતાથી નારાજ હતી. જે દેશ પર પોતે શાસન કરે છે તે જ દેશની પ્રજા માટે પોતાની જ એક વ્યક્તિ સમર્પિત થઈને તેને પ્રશંસે એ વાત અંગ્રેજોને પસંદ નહોતી. પણ નિવેદિતાએ તો પોતાને જે લાગ્યું ને સમજાયું તેને અનુસરવાનું જ પસંદ કર્યું.

    ઈ.સ. ૧૯૦૨માં ભારત આવેલાં નિવેદિતાને બીજી વારનું ભારત તો માતૃભૂમિ જ ભાસ્યું. કલકત્તાની બોસપાડા લેનમાં સત્તર નંબરના મકાનમાં તેઓ ભાડે રહ્યાં. આ સમયે સ્વામીજીનાં બીજાં શિષ્યા કિસ્ટીન ગ્રીનસ્ટિડેલ પણ નિવેદિતાની મદદ અર્થે ત્યાં આવી પહોંચ્યાં. આ બંનેએ પોતાના ઘરને “બહેનોનું ઘર” એવું નામ આપ્યું. આ ઘરમાં જીવનના અંત સુધી નિવેદિતા રહ્યાં.

    કલકત્તામાં સ્થાયી થયા પછી નિવેદિતાને ફરીથી શાળા શરૂ કરવાનો વિચાર આવતાં તેમણે વારાણસી રહેતા વિવેકાનંદની પત્રથી સલાહ માગી. ત્યારે પણ સ્વામીજીએ તેમને કોઈ આદેશ ન કર્યો. આપી માત્ર શુભેચ્છા. નિવેદિતા જે ઇચ્છતાં હતાં તે કાર્ય કરવાની ઈશ્વર તેમને શક્તિ આપે ને સાથોસાથ અપરિચિત શાંતિ પણ તેને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના વિવેકાનંદે કરી. આ શાળામાં બાલિકાઓ ને પછી તો મોટી ઉંમરની સ્ત્રીઓ પણ શિક્ષણ અર્થે આવવા લાગી. ‘રામકૃષ્ણ બાલિકા વિઘાલય’ તરીકે ચાલતી આ શાળા ઓળખાઈ તો નિવેદિતાને નામે જ.

    ઈ.સ. ૧૮૯૮થી ૧૯૦૨ – આ ચાર જ વર્ષના ગાળા દરમિયાન નિવેદિતા એમના મહિમાવંત ગુરુનું સાન્નિધ્ય ભોગવી શક્યાં. આ ચાર વર્ષમાં તેમણે જીવનની ચડતી-પડતી પણ પુષ્કળ પ્રમાણમાં જોઈ. પોતાની જાતમાં પણ પરિવર્તનનો પવન ફુંકાયો તેમાં ક્યારેક જીવનનોકા તોફાને પણ ચઢી ને તેને સુકાન પણ સાંપડ્યું. આ સૌ ઘટનાઓને પોતાનાં સમર્પણથી નિવેદિતા તરી ગયાં. તેમણે પોતાના ગુરુને જે દક્ષિણા ચૂકવી તે અહમૂ, દેશપ્રેમના નિવેદનની હતી. આ નિવેદન એટલું તો સંપૂર્ણ હતું કે વિવેકાનંદ જેવા મહાન ગુરુએ તેમને પોતાના જીવનના અંત સમયે જે આપ્યુ તે જગતનાં કોઈ પણ મહાન શિષ્યત્વને ભાગ્યે જ સાંપડયું હોય તેવું મહાન અર્પણ હતું.

    ૧૯૦૨ના જૂનની ૨૮મીએ વિવેકાનંદ સાથે નિવેદિતાની અંતિમ મુલાકાત થઈ. તે દિવસે સ્વામીજીએ નિવેદિતાને ભોજન પીરસ્યું. જમ્યા પછી પોતે જ નિવેદિતાને હાથ ધોવડાવ્યા ને નેપકીનથી લૂછ્યા. આ બધું જોઈને સંકોચાયેલાં નિવેદિતાએ ગરૂને કહં કે આ તો મારે કરવાનું હોય,તમારે નહી, પણ વિવેકાનંદનો જે ઉત્તર હતો તે જગતનાં સર્વ શિષ્યત્વને અર્ધ્યરૂપ્બને  તેવો હતો.  તમણે કહ્યુંઃ “ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોયા હતા.’ ગુરુએ શિષ્ય બનીને જીવનના અંતે શિષ્યને કરેલુ ગુરુનું આ પ્રદાન આધ્યાત્મિક જગતની સાથી મોટી ઘટના તરીકે ગણી શકાય તેવું છે. નિવેદિતાએ જો ગુરુ સમક્ષ પાતાના અહમનુ નિવેદન કર્યુ તો બદલામાં ગુરુએ ગુરેત્વનું જ વિસર્જન કરીને નિવેદિતાનાં સમર્પણની પૂરી કિંમત ચૂકવી આપી. આ ક્ષણ બંનેનાં અદ્વૈતની હતી. સાથોસાથ ગુરુએ કરેલાં મૃત્યુના સંકેતની પણ હતી કેમ કે ઈસુએ પણ છેલ્લા દિવસે શિષ્યોના પગ ધોયા હતા.

    નિવેદિતાને આ સન્‍માન આપવા પાછળ એક બાજુથી ગુરુની સમજ રહેલી હતી તો બીજી બાજુ નિવેદિતાનો ગુરુ પ્રત્યેનો ભાવ કારણભૂત હતો. પોતાના મર્દ ગુરુને નિવેદિતા સાચી રીતે પારખી શક્યાં હતાં. એક વાર સ્વામીજીએ તેમને કઢેલું, “મારું જીવનકાર્ય રામકૃષ્ણનું, કે વેદાન્તનું કે કોઈનું પણ નથી. ફક્ત મારા લોકોમાં મર્દાનગી લાવવાનું છે.’ નિવેદિતાએ ઉત્તરમાં ગુરુને મદદ કરવા ઇચ્છ્યું હતું. આથી જ ગુરુનાં નિર્વાણે નિવેદિતાને વેદનાથી ભરી દીધાં છતાં આંસુ સારીને બેસી રહેવામાં મર્દ ગુરુની મર્દ શિષ્યાએ નામર્દાઈ માની. આથી જ એક પત્રમાં તેમણે લખ્યું : “સ્વામીજીના કાર્ય માટે મને બળ, વિશ્વાસ અને જ્ઞાન મળે તે માટે તું પ્રાર્થના કરજે. અત્યારના સંજોગોમાં મને એ જ મોટામાં મોટા આશીર્વાદ છે… તેઓ હંમેશાં આપણી સાથે જ છે. હું તો બેસીને રડી પણ શકતી નથી. બસ, ફક્ત કાર્ય કરવા જ ઇચ્છું છું.’

    ગુરુનું કાર્ય ચાલુ રાખવાની ધૂન નિવેદિતા પર એવી તો સવાર થઈ ગઈ કે તેમણે રાષ્ટ્રીય ચળવળમાં જોડાવાનું નક્કી કર્યું. આ માટે રામકૃષ્ણ મઠનું સભ્યપદ છોડવું પડે તેમ હતું કારણ કે મઠ એક ધાર્મિક સંગઠન હતું. આથી જે મઠમાં શિષ્યા થઈને આવ્યાં તેને છોડતાં પણ તેઓ ખચકાયાં નહિ. સ્વામી બ્રહ્માનંદને પત્ર લખીને પોતાની મઠ તરફની નિષ્ઠા ને વફાદારી જીવનભર ચાલુ રાખવાનો કોલ આપીને બદલાયેલ પરિસ્થિતિના સંદર્ભમાં પોતે સ્થૂળ દષ્ટિએ મઠથી છૂટાં પડવાનું જણાવ્યું. નિવેદિતાનું આ સૌથી મોટું ક્રાન્તિકારી પગલું હતું જે કોઈના માર્ગદર્શન વિના ભરાયેલું હોઈને તેની કિંમત વધી જતી હતી. તેમનું આયરીશ ખમીર ને ગુરુભક્તિ આ ક્ષણે સમન્વિત થયાં. તેમનો વ્યાપ આ ક્ષણે ફેલાયો. હવે તેઓ માત્ર મઠનાં ન રહ્યાં, સમગ્ર ભારતમાં બની રહ્યાં – જેને સ્વામીજી ‘આપણા લોકો’ કહેતા હતા એ ભારતનાં, લોકોનાં ભગિની. અગાઉ તેઓ ‘રામકૃષ્ણ સંઘનાં નિવેદિતા’ તરીકે સહી કરતાં. હવે તેમની સહી આ મુજબ લખાતી : ‘રામકૃષ્ણ વિવેકાનંદની નિવેદિતા.’ .

    રાષ્ટીય ચળવળમાં જોડાયા પછી નિવેદિતાએ ભારતભરમાં જનજાગૃતિ વિશે વ્યાખ્યાનો આપ્યાં. અંગ્રેજ સરકારની નીતિ રીતિ સામે તેઓ રીતસર રણે ચડ્યાં તે સમયના યુવાનોની સાથે જાણીતા દેશનેતાઓ તેમને ઘેર જતા. ગુરુના નિવાસસ્થાન ભારતને નિવેદિતાએ એક વિરાટ ચેતન અતરીકે ભાળ્યું. ભારતીયોને ભારતનો પરિચય કરાવતાં તેમણે જણાવ્યુ : ભારતીય કહેવડાવવું એ ધાર્મિક વિચાર મનાય છે. પરંતુ એ કોઈ સંપ્રદાય નથી કે કોઈ સામાજિક વિચાર પણ નથી કે જે જાતિ કે જૂથની સંપત્તિ હોય. એ તો છે એતિહાસિક ઉત્ક્રાન્તિ જેમાં બધા એક છે. આ એવી વસ્તુ છે કે જે બધામાં છે. અને તે માત્ર ભારત કહેવાય છે.  ૧૮૯૮થી ભારતીય ચેતનામાં ઓગળતી આ મહાન ગુરુની મહાન શિષ્યાને જ આમ કહેવાનો અધિકાર હતો.

    ૧૯૦૭માં તેમણે ફરી પશ્ચિમની યાત્રા કરી. ૧૯૦૯માં પાછાં ફર્યા રવીન્દ્રનાથ, જગદીશચંદ્ર બોઝ, મહર્ષિ અરવિંદ જેવાં સમર્થ વ્યક્તિત્વોની સાથે નિવેદિતા સંકળાયેલાં એટલું જ નહિં પણ તેમનો આદર પણ પામ્યાં. રવીન્દ્રનાથ જ્યારે નિવેદિતા સમક્ષ પોતાની પાશ્ચાત્ય ઢંગથી કેળવણી આપવા નિવેદન કર્યું ત્યારે ટાગોર જેવાં સમર્થ વ્યક્તિત્વને નન્નો સુણાવતાં નિવેદિતાએ સ્પષ્ટ જણાવ્યું તેમ ભારતમાં રહેતા દરેક ભારતીયોની ભારતના સિદ્ધાંતો પ્રમાણે જ કેળવણી લેવી જોઈએ. આ હતો તેમના નિવેદનનો નિષ્કર્ષ.

    ભારતની દરેક વિષમ પરિસ્થિતિમાં તેમણે લોકોની પડખે ઊભાં રહીને સેવાકાર્ય કર્યું. નવેમ્બર ૧૯૧૦માં તેઓ ફરી અમેરિકા ગયાં. ૧૯૧૧ના એપ્રિલમાં ફરી ભારત આવ્યાં. ૧૯૧૧ના ઓક્ટોબરમાં તેમણે દાર્જિલિંગ જવાનો કાર્યક્રમ કર્યો. કલકત્તા છોડવાના દિવસો જેમ જુમ નજીક આવતા ગયા તેમ તેમ નિવેદિતાને પોતાનો અંત નજીક આવતો જણાયો. કલકત્તાની વિદાય લેવાની સાથોસાથ તેમણે મા શારદાદેવીની, સંઘના વરિષ્ઠ સંન્‍્યાસીઓની, રામકૃષ્ણદેવનાં ભક્ત જોગીન માની – સૌની વિદાય લેતાં જોગીન માને કહ્યું : “મને લાગે છે કે હું હવે પાછી નહીં આવું. સાતમી ઓક્ટોબરે નિવેદિતાએ પોતાનો અંતિમ ઇચ્છાપત્ર લખીને પોતાની બધી જ વસ્તુઓ બેલૂર-મઠના સંસ્થાપકોને આપી. જેનો ઉપયોગ તેમની પાઠશાળાની સ્ત્રીઓ અને રાષ્ટ્રના શિક્ષણ માટે કરવા તેમણે જણાવ્યં હતું.

    દાર્જિલીંગના હિમાચ્છાદિત વાતાવરણમાં સૂર્યનાં દર્શન પણ દુર્લભ રહેતાં. પણ કુદરતી રીતે તેર ઓક્ટોબરની સવારે અચાનક સૂર્યનારાયણને પ્રગટ થયેલા જોઈને જોઈને પ્રફુલ્લ ચિત્તે નિવેદિતાએ જણાવ્યું : ‘આ પુરાણી નાવ ડૂબી રહી છે તો પણ હું સૂર્યનાં દર્શન કરીશ.’ આટલું કહેતાં નિવેદિતા મૃતયુદેવને સમર્પિત થયા>

    ચુમ્માળીસ વર્ષની જીવનયાત્રામાં ૩૧ વર્ષ પોતાના દેશમાં ને માત્ર તેર વર્ષ ભારતમાં રહીને નિવેદિતાએ પોતાની આયુષ્યયાત્રાને સાર્થક કરી. પોતે શોધવા ઇચ્છેલી દિશા શોધીને, જે શોધ્યું તેને વફાદાર રહીને દિશાની શોધ તેઓ કરી શક્યાં તેના મૂળમાં માત્ર તેમની અભીપ્સા જ નહોતી, તેમનું સ્વાગતશીલ ચેતનાતંત્ર પણ હતું. ભારતના મહાન રાષ્ટ્રીય નેતા શ્રી બિપિનચંદ્ર પાલે નિવેદિતાના આ ગૃણને પારખીને તેમનું યથાર્થ મૂલ્યાંકન કરતાં નોંધ્યું છે : નિવેદિતા આપણી સમક્ષ એ રીતે આવ્યાં, જે રીતે અત્યાર સુધી કોઈ યુરોપવાસી આવેલ નથી. તેઓ સર્વજ્ઞ તરીકે ન આવ્યાં, પણ એવી વ્યક્તિના રૂપમાં આવ્યાં જેમણે શીખવાનો આરંભ કર્યા હતો. એક શિક્ષક તરીકે નહિ પણ વિદ્યાર્થી તરીકે તેમણે પ્રવેશ કર્યો. તેમણે પોતાને કોઈ ધર્મગુરુ કે ઉપાસ્ય તરીકે વ્યક્ત ન કર્યા, પણ હંમેશાં એક ઉપાસક તરીકે તેઓ નિષ્કપટ સ્નેહઅને શ્રદ્ધાથી આપણી વચ્ચે રહ્યાં.’

    દિશાની ખોજની અભીપ્સા નિવેદિતાને જાગવી, વિવેકાનંદ સાથે તેમનું જોડા થવું ને દિશાની પ્રાપ્તિ થવી એ નિવેદિતાનું, વિવેકાનંદનું ને સમગ્ર ભારતનું મહાન નસીબ બની રહ્યું. વિવેકાનંદે આ મહાન શિષ્યાને તેના આગમન સમયે એક રત્ન તરીકે ઓળખાવેલાં જેનું જીવનભર નિર્વહણ કરીને નિવેદિતાએ ગુરુને આપેલો અર્ધ્ય માનવજાતનાં સમગ્ર શિષ્યત્વનો પરિચાયક બની રહ્યો.


    [1] * આ મહિલાઓ તે શ્રી માતાજી અને મેડેલીન સ્લેડ, જેમના વિશે પછીનાં પ્રકરણોમાં ચર્ચા કરી છે.


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સંસ્પર્શ- ૨૨

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    તમારે નદી,પહાડો,સાગનાં વૃક્ષો,જંગલો ,અરે! સમગ્ર પ્રકૃતિ સાથે વાતો કરતાં શીખવું છે? તેમની મૌન ભાષાને સમજી તેના પ્રેમરસને આંખોથી પીવો છે? સર્જનહારે સર્જેલ જડ ચેતન,પશુ-પંખી સમગ્ર કાયનાત સાથે મોજ માણતાં જીવતાં શીખવું હોય, સૃષ્ટિનાં સર્જેલ દરેક ગરીબ,ભણેલા ,અભણ,જંગલમાં રહેતા આદિવાસી,સાધુ, ફકીર,ભૂત ભૂવા દરેકની સંવેદનાને તેના હૃદય પર કાન ધરી સાંભળવી હોય, આપણી સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને શ્વસીને તેની હૂંફને માણવી હોય તો ધ્રુવદાદાની ‘તત્વમસિ’ નવલકથા જરૂર વાંચવી રહી. જો જીવનરસને મનભરી પી તેમાં મસ્ત થવું હોય, જીવનની સચ્ચાઈને જાણવી અને માણવી હોય તો આ નવલકથા વાંચો.

    આપણે અનેક નવલકથા વાંચતાં હોઈએ છીએ. લેખક તેની કલ્પનાનાં દ્વાર ખોલીને આપણને કલ્પનાઓમાં જ ક્યાંય આકાશમાં ઉડાડે છે અને પછી નવલકથા પતે એટલે નીચે લાવી મૂકે છે. તેમાં બધું જ કાલ્પનિક. અહીં આ નવલકથામાં દાદાએ આપણને જીવનની નકરી વાસ્તવિકતા,સકળ બ્રહ્માંડ સાથેની આપણી એકરુપતા ,તેમજ દુન્યવી સત્ય,કરુણા અને પ્રેમનાં દર્શન સહજતાથી કરાવ્યાં છે.

    ભૌતિક સુખ,પ્લાસ્ટિકની દુનિયા અને આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિમાં શું ફરક છે? તે ઊંડાણપૂર્વક સરળતાથી આ નવલકથા દ્વારા સમજાવ્યું છે.

    પરદેશમાં લાંબાં સમયથી રહેલ અને અનેક સગવડો વચ્ચે રહેલ વ્યક્તિ પણ જ્યારે ભારતીય પરંપરા, સંસ્કૃતિને જાણે છે અને સામાન્ય માનવીઓનાં હૃયમાં રહેલી સંવેદનાને સંવેદે છે ત્યારે તેનાથી અભિભૂત થયા વગર રહી શકતો નથી. તેની ડાયરીનાં એક એક પાનાં પર તેણે અનુભવેલી એક એક લાગણીની ટશરોની ભીનાશ પથરાયેલી અનુભવાય છે. નવલકથા વાંચીને તે ભીનાશમાં પલળવાની વાચકને પણ મજા પડે છે. આપણી સંસ્કૃતિ આપણી પરંપંરાને જાણી તેની અહલેકની પહેચાન થતાં તેની સાથે જીવનને માણી તેનો અનોખો આનંદ અનુભવે છે.આ આખી વાત તે પોતાનાં શબ્દોમાં ડાયરીમાં ઉતારે છે.

    વિદેશથી પોતે કમને આવેલ પણ ધીરેધીરે વતનની માટીની સુગંધ,પ્રકૃતિની ગોદ,જંગલની હરિયાળી, નર્મદા કિનારો,નર્મદાનાં પરિક્રમા કરવાવાળા,તેમની માન્યતાઓ,નર્મદા તટવાસીઓ, અભણ ,અત્યંત ગરીબાઈમાં પણ ખુશ રહીને જીવતાં આદિવાસીઓ વગેરે કેવી રીતે એક પરદેશીને ,આકર્ષી પોતાનો બનાવી દે છે તે વાતની ખૂબ સુંદર શબ્દ ગૂંથણી કરી ધ્રુવદાદાએ નવલકથાનું સર્જન કર્યું છે. એટલે જ આ નવલકથા સાહિત્ય પરિષદ અને નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરવા હકદાર બની છે. તેના ઉપરથી બનેલ ફિલ્મ ‘રેવા’ ને પણ નેશનલ એવોર્ડ મળ્યો છે કારણ વાર્તાની પટકથા જ એટલી મજબૂત અને ભારતીય મૂળ સાથે જોડાએલી છે કે પ્રેક્ષક અને વાચકનાં હૃદયને તેની સંવેદના સ્પર્શી જાય છે. વાચકનાં હૃદયને ,પરંપરાને સંસ્કૃતિનાં મૂળિયા હચમચાવી મૂકે છે અને ભારતીયતાની સમગ્ર ઓળખ બહારથી અને ભીતર સુધી કરાવે છે.

    તત્વમસિ – તત્+ત્વમ્+ અસિ = તે તું જ છે. છાંદોગ્ય ઉપનિષદનાં ચાર મૂળ સિદ્ધાંતોમાંનો એક ‘ તે તું જ છે’ને સુપેરે રજૂ કરતી નવલકથા એટલે તત્વમસિ. નર્મદાને અને આપણી પવિત્ર નદીઓ પાસેથી આપણે શું પામીએ છીએ અને તેને આપણી સંસ્કૃતિ માતા તરીકે કેમ ઓળખાવે છે તેની વાત કરીશું આવતા અંકે.

    આજે ચાલો જોઈએ એવું જ. કુદરત પાસે લઈ જતું અને આપણને જગાડતું જ નહીં, આત્માને ઢંઢોળતું ધ્રુવગીત,

    ભાંગતો પહોર કંઈક બોલે છે બોલ ક્યાંક વાગે છે ઢોલ ,ચાલ જાગીએ.
    આઘેના ડુંગરમાં બોલે છે મોર એનો ઝીણો કલશોર,ચાલ જાગીએ.

    ઝરમરતી વાદળીના ઝીણા વરસાદ ભીનો ચંદરવો ગોળ ,ચાલ જાગીએ.
    ઝીલી લે ઝીલી લે વરસ્યાં આકાશ એમાં સપનાંઓ બોળ,ચાલ જાગીએ.

    ઝીણેરી જાત એના ઝીણેરા ઓરતામાં રાચે છે કોક ,ચાલ જાગીએ.
    ઝીણેરી ઝાંઝરીના ઝીણા રણકાર એમાં પગનો હિલ્લોળ ,ચાલ જાગીએ.

    ઝરમરતી રાત એના ઝીણા ઉજાગરાની આંખો હિંડોળ ,ચાલ જાગીએ.
    ઝીણી ઘોડી ને એનો ઝીની અસવાર કહે દરવાજા ખોલ,ચાલ જાગીએ.

    ઝીણેરાં ઝાડવાંનાં ઝીણેરાં ફૂલ ખર્યો આખોયે ચોક,ચાલ જાગીએ.
    ફૂલ છે તો ફોરમ કે રંગ છે તો રૂપ બધી ધારણાઓ ફોક,ચાલ જાગીએ.

    આવ્યા તે ઓઢી લે ઝીણા અંધાર હવે પડછાયા છોડ,ચાલ જાગીએ.
    ઝીણેરી વીજળીના ઝીણા ઝબકાર એમાં દર્પણને તોડ ,ચાલ જાગીએ.

    કેટલું અદ્ભુત ગીત લખ્યું છે !દાદાએ.કુદરત સાથે રહેતા અને સમગ્રતાથી તેને માણતા દાદા આપણને પણ ઊગતા પહોરે ક્યાંક વાગતા અનહદનાં ઝીણા નાદને કાન માંડીને સાંભળવા ,જાગી જવાનું કહે છે.દૂર દૂર ડુંગરમાં બોલતાં મોરના ટહુકા અને ઝીણા કલશોરનો આનંદ લેવા દાદા આપણને જગાડે છે. ઝીણાં વરસાદનાં વરસતાં ચંદરવાને ઝીલીને એ વરસતાં આકાશમાં આપણા સપનાંઓને ઝબોળવાનું સૂચવે છે.અહો! કેટલી સુંદર કલ્પના! આવી વરસાદી રાતે એક ઝીણો અસવાર ઝીણી ઘોડી લઈને આપણા દ્વાર ખખડાવે છે ત્યારે આ ઝરમરતી રાતમાં ઉજાગરો કરજે ,નશીલી રાતમાં ઊંઘી ન જતો. આમ કહી દાદા બારણે આવીને દ્વાર ખખડાવતા એ પરમનાં અનાહત નાદને સાંભળવા આપણને જાગતાં રહેવાની સલાહ આપેછે. ફૂલ છે તો ફોરમ છે અને રંગ,રૂપનાં લોજીકમાં કે માથાકૂટમાં પડ્યા વગર તે ધારણાઓને તોડીને, અતૂટ શ્રદ્ધા અને અખૂટ વિશ્વાસ સાથે ઝીણેરાં ઝાડમાંથી વેરાએલ પુષ્પોથી આચ્છાદિત ચોકની સુગંધ માણવા ,જાગવાનું દાદા કહે છે. અંધકારનાં પડછાયા છોડી, વીજળીનાં ઝબકારે ,પાનબાઈની જેમ મોતીડાં પરોવવાનું સૂચન દાદા કરી આપણને ભવાટવીની નીંદરમાંથી જાગી સત્યને પામવા જાગતા રહેવાનું સૂચવે છે.

    આ ધ્રુવગીત જેવી વાતો દાદાએ એમની નવલકથામાં તેમનાં પાત્રો અને પ્રકૃતિ દ્વારા આપણને સૂચવી છે. એના માટે સૌએ તેમની નવલકથા જ વાંચવી રહી.


    સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.