-
સંસારસંન્યાસ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
લાંબા સમય પછી નિવૃત્તિ બાદ ગજાધર બાબુને ઘેર આવેલા જોઈને શકુંતલાદેવી તો ભારે ખુશ. હાશ, હવે પતિની પસંદગીનું ખાવાનું બનાવીને એ એમને ખવડાવી શકશે. ખૂબ સેવા કરશે. લાંબા અરસા પછી પતિના સાંનિધ્યમાં સમય પસાર કરવાનો શકુંતલાના મનનો હરખ એના ચહેરા પર છલકાતો હતો.
૨૫ વર્ષથી એ પતિથી દૂર રહી. ગજાધર બાબુની નોકરી જ એવી હતી કે દર ત્રણ વર્ષે એમની ટ્રાન્સફર કોઈ દૂરદૂર શહેરોમાં થતી. સંતાનોને દર વખતે નવી જગ્યા, નવી સ્કૂલ, અલગ વાતાવરણમાં અગવડ ન પડે અને એમના અભ્યાસમાં ખલેલ ન પહોંચે એટલે શકુંતલા પિયર હતું એ શહેરમાં સંતાનો સાથે રહી. ઘર સંભાળ્યું, સંતાનોના ઉછેર અને અભ્યાસ પાછળ પૂરતો સમય આપતી રહી.
સમય જતા મોટા દીકરાનું લગ્ન થતાં પુત્રવધૂ આવી. દીકરીને પણ ધામધૂમથી પરણાવી. નાના દીકરાને પરણાવવાનો સમય પણ નજીક આવતો ગયો. સઘળી જવાબદારી શકુંતલાએ એકલા હાથે પાર પાડી. મનમાં સતત આશાનો એક દીપ લઈને એ આ બધું કરતી રહી કે પતિ નિવૃત્ત થઈને ઘેર આવશે ત્યારે ઘર-પરિવારના સઘળા ભારથી મુક્ત થઈને સંપૂર્ણ સમય પતિ સાથે, પતિ માટે જ ફાળવશે. ઉત્તરાર્ધનો સોનેરી સમય પતિ સાથે ગાળશે, પતિ સાથે ભરપૂર જીવશે. આટલા વર્ષોના વિયોગને એ ઉત્સવમાં બદલી નાખશે.
છેલ્લા પાંચ મહિનાથી પુત્રવધૂને ઘરકામમાં કેળવવા માંડી હતી જેથી પોતે ઘરકામથી ફારેગ થાય તો પુત્રવધૂ સરળતાથી એ જવાબદારી સંભાળી શકે. આટલા વર્ષોથી પોતે તો પરિવાર સાથે રહી છે, પણ પતિ તો સાવ એકલા જ રહ્યા છે. પોતે પતિની એકલતાને, વર્ષોના સૂનકારને સુંવાળા સહચારથી ભરી દેશે.
શકુંતલાદેવીનું સપનું સાકાર થવાનો દિવસ આવ્યો. ગજાધર બાબુ ઘેર આવ્યા, પણ આ શું?
શકુંતલાદેવીને એ વાતનું આશ્ચર્ય થતું કે આટલા વર્ષે પત્ની સાથે રહેવાનો સમય આવ્યો ત્યારે પતિ મહાશયમાં કેમ જરાય ઉમળકો વર્તાતો નથી? શકુંતલાદેવી પાસે બેઠા હોય તો પણ પતિદેવ તો મોબાઇલમાં જ વ્યસ્ત. બાજુમાં બેઠેલી પત્ની તરફ નજર માંડવાના બદલે. પત્નીની વાતો સાંભળવાના બદલે એમનું ધ્યાન સતત મોબાઇલમાં જ રહેતું. હાથમાં ફોન અને ફોન પર ખટર પટર, પટર ખટર. શકુંતલા પાસે બેસતી તો ગજાધર બાબુ અસહજ બની જતા.
આટલા વર્ષો એકલા રહ્યા પછી ગજાધરે WhatsApp, Twitter, Facebook, Instagram જેવા social media સાથે દોસ્તી કરી લીધી હતી. ફેસબુક તો જાણે એમની ઓળખ બની ગયું હતું. અવારનવાર ફેસબુક પર પોતાની પોસ્ટ શેર કરે રાખતા. મળ્યા ન હોય એવા લોકો સાથે વાતચીત અને વાહવાહીમાં સમય પસાર કરતા.
એક શકુંતલાદેવી હતાં જેમણે ચાતકની જેમ પતિની રાહ જોઈ હતી. જીવનભરની કથા, વ્યથા પતિને જણાવવી હતી. પતિ એકલા રહેતા હતા એટલે એમને કોઈ જાતનો ઉચાટ, કોઈ દ્વિધા કે અવઢવ ઊભી ન થાય એટલે સતત સંજોગો સામે એ ઝઝૂમતી રહી. આ પચીસ વર્ષ કેવી રીતે પસાર કર્યાં છતાં એનો અણસારો સુદ્ધાં પતિ સુધી પહોંચવા નહોતો દીધો.
શકુંતલાદેવી સરસ તૈયાર થતી, પણ પતિદેવને ફેસબુકની સુંદરીઓને જોવા આડે એક મિનિટની ફુરસદ જ ક્યાં હોય કે પત્ની સામે નજર માંડે? હવે તો સ્થિતિ એવી આવતી કે, શકુંતલાદેવી કંઈક કહેતા હોય તો પણ ગજાધરબાબુનું ચિત્ત એમનાં ‘બુદ્ધુ બોક્સ’- ‘Idiot Box’માં જ હોય. શકુંતલાદેવીએ ક્યારે, શું કહ્યું એ હવામાં જ જતું. બંનેના દિવસ-રાત પણ અલગ. શકુંતલાદેવી વહેલા સૂઈ જાય, પતિદેવ મોડા સુધી મોબાઇલમાં રચ્યાપચ્યા હોય. શકુંતલાદેવી સવારે વહેલા ઊઠે, પતિદેવ મોડી સવાર સુધી ઊંઘતા હોય.
કેટલીય વાર શકુંતલાદેવીને લાગતું કે પતિદેવ કોઈની સાથે વાત કરી રહ્યા છે, પણ એમને જોઈને ચૂપ થઈ જાય છે.
આ એ જ પતિ હતા જે કહેતા કે, “શકુ, તારા વગર રહેવું મારા માટે મોતથી બદતર દશા જેવું છે.” અને આજે પચીસ વર્ષે મળેલા પતિદેવ આટલા બદલાઈ ગયા?
હાય રે, આટલા માટે જુદાગરો વેઠ્યો હતો?
પતિદેવે અચાનક એક દિવસ શકુંતલાદેવીને જાણ કરી કે, સરકારનો રિટાયર્ડ લોકોને નોકરી પર રાખવાનો પ્રસ્તાવ એમણે મંજૂર કરી લીધો છે અને હવે પોતે નવી નોકરીવાળા નવા શહેરમાં જશે. શકુંતલાદેવીએ રાજી થઈને પતિ સાથે જવાની તૈયારી આદરી.
પણ, ગજાધરબાબુએ એમના ઉત્સાહ પર ઠંડુ પાણી રેડતાં કહ્યું, “એમને ક્યાં ક્યાં જવું પડશે એ નિશ્ચિત નથી. વળી અહીં પૌત્ર-પૌત્રીઓ, પરિવારને શકુંતલાદેવીની જરૂર વધારે છે. પોતે તો પોતાની વ્યવસ્થા કરી લેશે.”
“અરે ભગવાન, હવે પેન્શનની પૂરતી રકમ મળે છે તો નવી નોકરીની જરૂર છે જ ક્યાં? જીવનના આ પડાવ પર સાથે રહેવાનો સમય મળ્યો છે તો માણી લો ને?” પત્નીએ અકળામણ ઠાલવી.
ગજાધરબાબુ પત્નીને કેવી રીતે સમજાવે કે, “હવે એમને એકલા રહેવાનું માફક આવી ગયું છે. WhatsApp, Twitter, Facebook, Instagram જ એમની દુનિયા છે અને એમાં જ મસ્ત રહેવાનું ગમે છે. પત્નીની સાથે રહેવાનું, પત્નીના સવાલોના જવાબ આપવાનું નથી ગમતું. હવે તો એકાકી જીવનમાં જ મસ્ત અને વ્યસ્ત રહેવું છે.”
અને ગજાધરબાબુએ ફરી પોતાનો સામાન સમેટવા માંડ્યો. શકુંતલાદેવી ફરી રસોડું સંભાળવા તરફ વળ્યાં.
ડૉ. પદ્મા શર્મા લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
બાસમતી ચોખા
આશા વીરેન્દ્ર
પ્લાસ્ટર ઊખડી ગયેલી, પડું પડું થતી દીવાલ વાળું જર્જરિત ખંડેર જોઈને કોઈ માની ન શકે કે, એક જમાનામાં અહીં જમીનદારની શાનદાર હવેલી ઊભી હતી. જેવી હાલત હવેલીની એવી જ, કે કદાચ એનાથીય બદતર હાલત હતી એની માલકણ પારવતીની. ચીંથરું થઈ ગયેલી ચાદર ર્જીણ શરીર પર લપેટતાં એ રોજ કહેતી, “વહુ, આ બુઢ્ઢાં હાડકાંઓમાં ઠંડી સહન કરવાની તાકાત નથી રઈ. એકાદ જૂનું ગોદડું હોય તો કાઢી આલજે. વરંડામાં પડેલી પાટ પર સૂઉં છું તે રાતે ટાઢથી થીજી જવાય છે.”
“ગોદડું ક્યાંથી લાવું? માવતરેથી લગન વખતે લાવી’તી ઈ ફાટીને તાર તાર થઈ ગ્યું છે. ઈ બેય છોકરાંઓનાં ડિલ પર નાખું છું. બસ! ઈ સિવાય હવે કાંઈ નથ.”
ડોસી ચુપચાપ ઘરની કંગાળ હાલત પર નિસાસો નાખતી. માલિકના ગયા પછી હવેલીની પડતી શરૂ થઈ. ત્યારબાદ એક પછી એક નોકરોએ પોતાનો રસ્તો લઈ લીધો. એક ફક્ત ગોપી એને આપેલી ખોલીમાં પડી રહેતો ને થઈ શકે એવું પરચૂરણ કામ કર્યા કરતો. નવરાશના સમયે ઓટલે આવીને બેસતો ને કહેતો, “શેઠાણીબા, ઉં તો ક્યાંય નંઈ જવાનો. મારો જેંતી શેરમાં રે’વા બવ બોલાવે છ પણ મીં કીધું કે, જીવ્યો ઐયાં ને મરવાનો પણ ઐયાં જ!” એની ઇચ્છા પૂરી થઈ. ચાર દિવસ પહેલાં એણે દેહ છોડ્યો. ગઈકાલે જેંતી મોટર લઈને આવ્યો ને એણે જાહેરાત કરી, “મારા બાપનું સરાધ હું ધામધૂમથી કરવાનો છું. આખા ગામને જમવા નોતરવાનો છું.”
ડોસી આ સાંભળીને બબડ્યાં, “જોઈએ તો ખરાં કે, મોટો સાયેબ થઈ ગ્યો છે તે શું જમાડે છે?”
ત્યાં તો સ્કૂલેથી આવેલી નાનકડી દીકરીએ કહ્યું, “દાદી, ગોપીકાકાના ઘર પાસેથી આવી ને, ત્યારે મેં જોયું કે, ત્યાં આ…ટલો બધો ભાત રંધાય છે.”
“ના બાઈજી, હવે તો ઈ લોકોય તુવેરની દાળ ને બાસમતી ભાત જમાડે છે.” સાસુની વાત સાંભળી રહેલી જમનાએ કહ્યું, “બાસમતી એટલે શું? દીકરીએ પૂછ્યું.”
“બચાડીએ કોઈ દી જોયું હોય તો ખબર પડે ને? બેટા, બાસમતી ઈ ચોખાની એક જાત છે. કોલમ, મસૂરી, પરિમલ… કેટલી બધી જાતના ચોખા આવે, ખબર છે?” બોલતાં બોલતાં ડોસીનાં મોંમાં પાણી આવવા લાગ્યું. આ બધું સાંભળી રહેલા પ્રતાપને બહુ ગુસ્સો આવતો હતો. “સાલ્લા, બે બદામના નોકરડા, આખા ગામને જમાડે ને આપણે એમાં જમવાનું?” મોટેથી ઘાંટો પાડીને એણે સૌને કહી દીધું હતું, “જેંતી ભલે જાતે નોતરું આપવા આવે, પણ ખબરદાર છે કોઈ જમવા ગયું છે તો! ગમે તેમ તોયે આપણે એના માલિક છીએ. એમ ભુખ્ખડની જેમ જમવા બેસી જઈએ તો કેવું લાગે?”
સાયકલ લઈને પ્રતાપ બહાર નીકળતો હતો ત્યારે જમનાએ એની પાછળ જઈને કહ્યું, “રોજ રોજ જાડા કુસકાના રોટલા ખાઈને બધાં કંટાળ્યાં છે. વીસ દિવસથી રોટલા ને ભાજીનું શાક- એની સિવાય કંઈ બનાવાયું જ નથી. માથી તો રોટલો ચવાતો પણ નથી.”
“બધું સમજું છું પણ નસીબ આડેથી પાંદડું ખસતું નથી તો શું કરું?”
થોડીવાર પછી જેંતી નિમંત્રણ આપવા આવ્યો હતો. શેઠાણીને પગે લાગીને ગળગળા સાદે કહ્યું હતું, “તમે તો અમારા અન્નદાતા છો. આજે જે કંઈ છું એ તમારા પ્રતાપે. સહકુટુંબ જમવા જરૂર પધારજો.”
બંને નાનાં બાળકો જમવા જવા તૈયાર થઈ ગયાં હતાં પણ જમનાએ કહ્યું, “તમારા બાપા જાણશે તો ટાંટિયો ભાંગી નાખશે. બેસો, છાનાંમાનાં ઘરમાં!”
જેંતીએ કહ્યું, “મા, એ તો હું. તમે કોઈ જમવા ન આવ્યાં તે હું ખાવાનું ઢાંકવા આવ્યો છું. લાપસી, દાળ-ભાત, શાક બધું છે.” સાંભળીને ડોસીની આંખો ચમકી ઊઠી.
“મા, કોની સાથે વાત કરતી હતી? કોઈ આવેલું?” પ્રતાપ ને એની પાછળ છોકરાંઓ અને જમના બધાં બહાર આવ્યાં.
“જેંતી આવ્યો’તો. પરાણે ખાવાનું મૂકી ગયો. મેં ઘણી ના પાડી કે, હજી તો હમણાં બધાં પેટ ભરીને જમ્યાં છીએ, પણ ઈ ન માન્યો.”
જમના ડરતાં ડરતાં બોલી, “હવે આવ્યું જ છે તો બેય છોકરાંઓને જમવા બેસાડી દઉં? ભૂખ્યા પેટે બેયને નીંદર નથી આવતી.”
જવાબની રાહ જોયા વિના બેઉ બાળકો દોડતાં આવ્યાં ને થાળી લઈને ગોઠવાઈ ગયાં. હજી એ બંનેની થાળી પીરસાય ત્યાં ડોસીમા ડગુમગુ કરતાં આવ્યાં, “વહુ, મનેય ખાવાનું આપી જ દે. વરસો થયાં આવું બધું ખાધાને! ને ગોપી આપણો નોકર હતો એટલે એના ઘરનું ન ખાવું એવું ઓછું છે? કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી.”
પ્રતાપ ત્રણેને અકરાંતિયાની જેમ ખાતાં જોઈ રહ્યો પછી જમના સામે જોઈ ધીમેથી બોલ્યો, “હજી ખાવાનું ઘણું વધ્યું છે, નહીં? આટલું સારું ખાવાનું ફેંકી દેવા કરતાં ચાલ, આપણે બેઉ પણ જમી લઈએ. થાળી પીરસ.”
બંનેની થાળી પીરસીને સામે મૂકી ત્યારે પ્રતાપ પત્નીની આંખમાં આંખ નહોતો મેળવી શકતો. નીચી મૂંડી કરીને કોળિયા ભરી રહેલા પતિની મજાક કરતાં જમનાને કહેવું હતું કે, ‘કેમ, ના કહેતા હતા પણ આખરે જમવું પડ્યું ને?’
પણ એનાથી એવી ક્રૂર મજાક ન થઈ શકી. હસવાનો પ્રયત્ન કરવા જતાં એની આંખમાંથી નીકળેલાં આંસુ દાળમાં પડ્યાં. જમીને આંગળાં ચાટી રહેલાં સાસુ અને બાળકોને જોઈને એના ચહેરા પર સંતોષનો ભાવ આવ્યો કે કરુણાનો એ એને પોતાને જ ન સમજાયું.
(બસવરાજ સાદરની મૈથિલી વાર્તાને આધારે)
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
એક કલાકાર: ગાયકો એકથી વધુ [૪]
નિરંજન મહેતા
આ શ્રેણીના આ લેખમાં મનોજકુમાર વિષે રજૂઆત કરૂં છું. ન કેવળ એક અદાકાર પણ નિર્માતા નિર્દેશક અને ગીતકાર તરીકે પણ તેમણે આગવી પ્રતિભા દાખવી છે. જેમ સામાન્ય રીતે રાજકપૂર માટે મુકેશનો અવાજ બંધ બેસે છે તેમ મનોજકુમાર માટે મહેન્દ્ર કપૂરનો અવાજ. .તેં છતાં કેટલાક ગીતો અન્ય ગાયકોએ પણ ગાયા છે. વળી મનોજકુમારે દેશપ્રેમ દર્શાવતી કેટલીક ફિલ્મો બનાવી છે તેને કારણે તે ભારતકુમાર તરીકે પણ ઓળખાય છે.
સૌ પ્રથમ જોઈએ ૧૯૬૨ની ફિલ્મ ‘‘બનારસી ઠગ’ના ગીતો
પહેલા ગીતના ગાયક રફીસાહેબ
अब मोहब्बत में जो पहले थी, वो तासीर नहीं
अब वो शीरीं नहीं, लैला नहीं, वो हीर नहींગીતકાર અખ્તર વારીસ સંગીતકાર ઇકબાલ કુરેશી. મનોજકુમાર સાથે વિજયા ચૌધરી
બીજા ગીતના ગાયક મુકેશ
खुली खुली जुल्फों को बांध भी लो
हो जाये न दुनिया में शम कही
यु न देखो यूं न देखो
तुम मुझकोગીતકાર અઝીઝ કૈસી સંગીતકાર ઇકબાલ કુરેશી. મનોજકુમાર સાથે વિજયા ચૌધરી
૧૯૬૨ની જ અન્ય ફિલ્મ ‘હરિયાલી ઔર રાસ્તા ‘
પહેળા ગીતમાં મનોજકુમાર પર રચાયેલ આ ગીત એક પાર્શ્વગીત છે જે મહેન્દ્ર કપૂરના અવાજમાં છે
खो गया है मेरा प्यार मेरा प्यार
ढूंढता हु मै मेरा प्यार
ढूंढता हु मै मेरा प्यार
खो गया है मेरा प्यार मेरा प्यारગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન
બીજું ગીત મુકેશના સ્વરમાં
तेरी याद दिल से भुलाने चला हूँ
के खुद अपनी हस्ती, मिटाने चला हूँગીતકાર હસરત જયપુરી અને સંગીતકાર શંકર જયકિસન
૧૯૬૨ની વધુ એક ફિલ્મ ‘મા બેટા’
પહેલા ગીતમાં સ્વર છે હેમાંન્ત્કુમારનો
मुहब्बत जिसको कहते
हैं वोह इक
धड़कन पुराणी है
यह किस्सा हर नजर का
है यह हर दिल
की कहानी हैમનોજકુમાર સાથે અમિતા. સ્વર છે હેમંતકુમાર અને લતાજીનાં. હેમંતકુમારનું સંગીત અને પ્રેમધવનનાં શબ્દો
બીજા ગીતમાં સ્વર છે મુકેશનો.
मैंने कहा जी मैंने
कहा तुमसे हमें प्यार है
मैंने कहा जी मैंने कहा हमको
कब इंकार है मैंने कहाમનોજકુમાર સાથે અમિતા. સ્વર છે મુકેશ અને લતાજીનાં હેમંતકુમારનું સંગીત અને પ્રેમધવનના શબ્દો
૧૯૬૨ની અન્ય ફિલ્મ ‘નકલી નવાબ’માં ત્રણ ગીતો એવા છે જેમાં ત્રણ જુદા જુદા ગાયકો છે
પહેલા ગીતના ગાયક છે તલત મેહમુદ
मस्त आँखें हैं की पैमाने दो
हाय! आज तो मुझ को बहक जाने दो
आ: इतने छलका के न पैमाने दो
हाय! इक ज़रा होश में आ जाने दोસાથ આપ્યો છે શકીલાએ. સહગાયિકા છે આશા ભોસલે. ગીતકાર કૈફ ઈર્ફાની અને સંગીતકાર બાબુલ
બીજું ગીત ગાયું છે રફીસાહેબે
સાથ આપ્યો છે શકીલાએ. ગીતકાર રાજા મેહંદી અલી ખાન અને સંગીતકાર બાબુલ
छेड़ा जो दिल का फ़साना
हंसा ज़ोर से क्यों ज़माना
अल्ला जाने मौला जानेત્રીજું ગીત મુકેશના સ્વરમાં
फूलो से रंगीन ज़मी है
कतो का गुम भी यही है
दुनिया के मलिक ये
दुनिया तेरी है मेरी नही हैસાથ આપ્યો છે શકીલાએ. ગીતકાર કૈફ ઈર્ફાની અને સંગીતકાર બાબુલ
૧૯૬૪ની ફિલ્મ ‘વો કૌન થી’ના પહેલા ગીતના ગાયક છે રફીસાહેબ અને સહગાયક આશા ભોસલે.
तिकी रिकी तिकी रिकी ताकुरी
तिकी रिकी तिकी रिकी तुम
कल जो मिला था
मुझे ख्वाब में
वही तो नहीं हो क्या तुमબીજા ગીતના ગાયક છે મહેન્દ્ર કપૂર. સહગાયક લતાજી.
छोड़ कर तेरे प्यार का दामन ये बता दे कि हम किधर जायें
हम को डर है कि तेरी बाहों में हम खुशी से न आज मर जायेंબંને ગીતમાં મનોજકુમારને સાથ આપ્યો છે હેલને બંને ગીતના ગીતકાર રાજા મહેંદી અલી ખાન અને સંગીતકાર મદન મોહન
૧૯૬૪ની અન્ય ફિલ્મ ‘અપને હુએ પરાયે’
પહેલા ગીતમાં ગાયક છે સુબીર સેન
गगन के चँदा न पूछ हमसे, कहाँ हूँ मैं दिल मेरा कहाँ है
गगन के चँदा न पूछ हमसे, कहाँ हूँ मैं दिल मेरा कहाँ है
किसीके चाहत में खो गए हम, ना अपना दिल है, ना अपनी जाँ हैમનોજકુમારને સાથ આપ્યો છે શશીકલાએ. શૈલેન્દ્રના શબ્દો અને શંકર જયકિસનનું સંગીત. સ્વરમાં સાથ છે લતાજીનો.
બીજા ગીતના ગાયક છે મુકેશ
दुपटे की गिरह में बांध लीजिए
मेरा दिल है कभी काम आएगाગીતકાર હસરત જયપુરી અને સંગીત આપ્યું છે શંકર જયકિસને
૧૯૬૫ની ફિલ્મ ‘પૂનમ કી રાત’માં જે ગીતો છે તેમાના પહેલા ગીતના ગાયક છે મુકેશ અને સાથ આપ્યો છે લતાજીએ.
तुम कहा ले चले हो सजन अलबेले
ये कौन सा जहा है बताओ तो बताओ तो
ये सफ़र अंजना ये प्यार की है राहे
जरा संग मेरे तुम आओ तो
तुम आओ तो
तुम कहा ले चले होબીજું ગીત ગયું છે રફીસાહેબે
दिल तड़पे तड़पाये
जिनके मिलान को तरसे
वो तो न आये
मौसम आये जायेબંને ગીતના ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર સલીલ ચોંધરી
૧૯૬૫ની અન્ય ફિલ્મ ‘શહીદ’
પહેલું ગીત મહેન્દ્ર કપૂર અને સાથીઓએ ગાયું છે.
मेरा रंग दे बंसती चोला माहे रंग दे बसंती चोला
जिस चोले को पहन शिवाजी खेले अपनी जान पे
जिसे पहन झाँसी की रानी मिट गई अपनी आन पे
आज उसी को पहन के निकला हम मस्तों का टोलाબીજું ગીત ગાનાર છે રફીસાહેબ
सरफ़रोशी की तमन्ना
अब्ब हमारे दिल में है
देखना है जोर कितना
बाजुए कातिल में हैબંને ગીતોના ગીતકાર અને સંગીતકાર પ્રેમ ધવન
૧૯૬૫ની એક વધુ ફિલ્મ ‘હિમાલય કી ગોદ મેં’
પ્રથમ ગીતના ગાયક છે રફીસાહેબ
हाय सोनिये हिरिये हिरिये हाय रे हाय
ओए सोनिया ओए सोनिया होए रंज़ियाગીતકાર કમર જલાલાબાદી
બીજું ગીત મુકેશના સ્વરમાં
मैं तो एक ख्वाब हूँ, इस ख्वाब से तू प्यार न कर
प्यार हो जाए तो, फिर प्यार का इज़हार न करગીતકાર આનંદ બક્ષી
બંને ગીતના સંગીતકાર કલ્યાણજી આણંદજી.
૧૯૬૬ની ફિલ્મ ‘સાવન કી ઘટા’
પહેલું ગીત ગાયું છે મહેન્દ્ર કપૂરે શર્મિલા ટાગોરને ઉદ્દેશીને
मेरी जान तुम पे सदके, एहसान इतना कर दो
मेरी ज़िंदगी में अपनी, चाहत का रंग भर दोબીજું ગીત પણ શર્મિલા ટાગોરને ઉદ્દેશીને ગવાયું છે જેના ગાનાર છે રફીસાહેન
होठो पे हसी आँखों में नशा
पहचान है मेरे दिलबर की
जब ढली नजर दिल मोह लिया
क्या बात है इस जादूगर कीબંને ગીતના ગીતકાર એસ.એચ બિહારી અને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે.
૧૯૬૭ની ફિલ્મ ‘પત્થર કે સનમ’માં બે જુદા જુદા ગાયકો પાસે ગીતો ગવડાવ્યા છે.
પહેલું ગીત નફરતભર્યું છે જે વહીદા રેહમાન માટે ગાયું છે રફીસાહેબે
पत्थर के सनम, तुझे हमने, मुहब्बत का ख़ुदा जाना
बड़ी भूल हुई, अरे हमने, ये क्या समझा ये क्या जानाબીજું ગીત મુમતાઝને ઉદ્દેશીને મુકેશે ગાયું છે
तौबा ये मतवाली चाल झुक जाए फूलों की डाल
चाँद और सूरज आकर माँगें, तुझसे रँग-ए-जमाल
हसीना तेरी मिसाल कहाँબંને ગીતોના રચયિતા મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ
૧૯૬૭ની જ અન્ય ફિલ્મ ‘ઉપકાર’માં પણ બે ગાયકો છે.
પહેલા ગીતના ગાયક છે મહેન્દ્ર કપૂર અને સાથીઓ
मेरे देश की धरती सोना उगले, उगले हीरे मोती
मेरे देश की धरती …ગીતકાર ગુલશન બાવરા
બીજા ગીતના ગાયક છે મુકેશ
दीवानों से ये मत पूछो दीवानों पे क्या गुज़री है
हाँ उनके दिलों से ये पूछो, अरमानों पे क्या गुज़री हैગીતકાર કમર જલાલાબાદી
બંને ગીતના સંગીતકાર કલ્યાણજી આણંદજી
૧૯૬૯ની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’માં મોટા ભાગના ગીતો મહેન્દ્ર કપૂરે ગાયા છે પણ એક ગીત મુકેશના સ્વરમાં છે.
कोई जब तुम्हारा हृदय तोड़ दे
तड़पता हुआ जब कोई छोड़ दे
कोई जब तुम्हारा हृदय तोड़ दे
तड़पता हुआ जब कोई छोड़ दे
तब तुम मेरे पास आना प्रिये
मेरा दर खुला है खुला ही रहेगा
तुम्हारे लियेબીજા ગીતો જે મહેન્દ્ર કપૂરે ગાયા છે તેમાનું એક
है प्रीत जहाँ की रीत सदा
मैं गीत वहाँ के गाता हूँ
भारत का रहने वाला हूँ
भारत की बात सुनाता हूँબંને ગીતના રચયિતા ઇન્દીવર અને સંગીતકાર કલ્યાણજી આણંદજી
૧૯૭૨ની ફિલ્મ ‘શોર’નું પહેલું ગીત ગાનાર છે મહેન્દ્ર કપૂર
जीवन चलने का नाम
चलते रहो सुबह शाम
के रास्ता कट जाएगा मित्र
के बादल छंट जाए मित्र
के दुःख से झुकना न मित्र
के इक पल रुकना न मित्रગીતકાર છે ઇન્દ્રજીત તુલસી
બીજા ગીતના ગાયક છે મુકેશ અને સાથ આપ્યો છે લતાજીએ
एक प्यार का नग़मा है, मौजों की रवानी है
ज़िंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी हैગીતકાર છે સંતોષ આનંદ
બંને ગીતના સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ
૧૯૭૨ની અન્ય ફિલ્મ ‘બેઈમાન’નું પહેલું ગીત ગાયું છે મુકેશ અને લતાજીએ. રક્ષાબંધનને અનુલક્ષીને આ ગીત રચાયું છે નાઝીમા પર
ये राखी बंधन है ऐसा
जैसे चँदा और किरण का
जैसा बदरी और पवन का
जैसे धरती और गगन काબીજું ગીત ગયું છે મહેન્દ્ર કપૂરે સાથ આપ્યો છે આશા ભોસલેએ. મનોજકુમાર સાથે છે રેખા.
पतला पतला रेशमी कुरता चुदिदार पजामा
ज़ुल्फ़ के छे टुकड़े ये देख के मचा हंगामा૧૯૭૪ની ફિલ્મ ‘રોટી કપડા ઔર મકાન’માં બે ગાયકો છે
પ્રથમ જોઈએ મહેન્દ્રકપૂરે ગાયેલું ગીત જેમાં ઝીનત અમાન અને અન્ય નજરે પડે છે
और नहीं बस और नहीं, ग़म के प्याले और नहीं
दिल में जगह नहीं बाकी, रोक नजर अपनी साकी तोબીજું ગીત ગાયું છે મુકેશે જેને સાથ આપ્યો છે લતાજીએ. મનોજકુમાર સાથે છે ઝીનત અમાન
.
मैं ना भूलूँगा, मैं ना भूलूँगी
इन रस्मों को इन क़समों को
इन रिश्ते नातों कोબંને ગીતના રચયિતા સંતોષ આનંદ અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ
૧૯૮૧ની ફિલ્મ ‘ક્રાંતિ ‘
આ ભજન ગાયું છે મહેન્દ્ર કપૂરે અને સાથ આપ્યો છે મીનુ પુરુશોત્તામે
दुर्गा है मेरी माँ आंबे है मेरी माँ
बोलो जय माता कीફક્ત ઓડીઓ
બીજું ગીત નીતિન મુકેશના સ્વરમાં છે અને સાથ આપ્યો છે લતાજીએ.
ज़िन्दगी की ना टूटे लड़ी
प्यार कर ले घड़ी दो घड़ी
लम्बी लम्बी उमरिया को छोड़ो
प्यार की एक घड़ी है बड़ीબંને ગીતના રચયિતા સંતોષ આનંદ અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ
મનોજકુમારની બહુ ઓછી જાણીતી ૧૯૮૯ની ફિલ્મ ‘ક્લાર્ક’માં પણ એક કરતા વધુ ગાયકો છે.
પહેલા ગીતના ગાયક છે મહેન્દ્ર કપૂર જેને સાથ આપ્યો છે લતાજીએ. આ એક દેશભક્તિ ગીત છે.झूम झूम के गाओ रे
मस्ती में सब आओ रे
चुप चुप जनाब आप रहते हैं
इस छुपीબીજા ગીતના ગાયક છે નીતિન મુકેશ અને સાથ આપ્યો છે લતાજીએ.
छुपी चुपी छुपी चुपी में
मैंने किया इरादा छुपी चुपी में
उस इरादे में छुपा हैं प्यारा वादाબંને ગીતોમાં સહકલાકાર છે રેખા, બંને ગીતો લખ્યા છે ખુદ મનોજકુમારે અને સંગીતકાર છે ઉત્તમ જગદીશ.
૧૯૮૯ની અન્ય એક ફિલ ‘સંતોષ’નું પહેલું ગીત ગાયું છે નીતિન મુકેશે સાથમાં છે આશા ભોસલે
बताओ तुम्हे प्यार कैसे करूँ
मुझे प्यार करने की आदत नहीं
मैं जैसा भी हो हा जैसा भी हो
सामने हुँ खड़ा
मुझे कुछ छुपाने की आदत नहीं
बताओ तुम्हे प्यार कैसे करूँ
मुझे प्यार करने की आदत नहींગીતમાં હેમા માલિની દર્શાવાઈ છે.
બીજું ગીત ગાયું છે મહેન્દ્ર કપૂરે.
आज मैं बेचैन हूँ
यार मैं बेचैन हूँ
ये महज तन्हाईया
दर्द की अंगड़ाईयाँ
ये महज तन्हाईया
दर्द की अंगड़ाईयाँ
मौत की परछाइयांબંને ગીતોના રચયિતા સંતોષ આનંદ અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ
જ્યાં કોઈ ફિલ્મમાં એક કરતા વધુ ગીતો એક ગાયકે ગાયા હોય તો તેમાંથી એક જ ગીત ઉપર મુક્યું છે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
વૅલેન્ટાઇન દિવસના ફૂલ જેવી ગઝલ
બાગમાં ભમરાની લાંબી લાઇન છે
ફૂલ માટે રોજ વેલેન્ટાઇન છે !કોની જોડે પ્રેમના કીધા કરાર ?
હોઠ પર કોની ગુલાબી સાઇન છે ?જા જઈ પૂછી જો આદમ-ઇવને
ઈશ્કથી ચડિયાતી કોઈ વાઇન છે ?તારી યાદોની મજાનું શું કહું !
તારા કરતાં પણ વધારે ફાઇન છેઆ અજાણ્યો કોલ બીજાનો હશે
એના નંબરમાં તો અંતે નાઇન છે– મેહુલ પટેલ ‘ઇશ
-
તલાશ (૧૯૬૯)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
ઓ.પી. (ઓમપ્રકાશ) રલ્હન નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા અને ફિલ્મલેખક તરીકે ઠીક ઠીક જાણીતા બનેલા. તેમણે ‘ગહરા દાગ’, ‘મુઝરિમ’, ‘ફૂલ ઔર પથ્થર’, ‘હલચલ’, ‘બંધે હાથ’, ‘પાપી’ અને ‘પ્યાસ’ જેવી ફિલ્મો આપી. આ ફિલ્મો ઠીક સફળ રહી એમ કહી શકાય. ‘બંધે હાથ’માં તેમણે અમિતાભને મુખ્ય ભૂમિકામાં લીધા ત્યારે હજી અમિતાભની ખાસ ઓળખ ઊભી થઈ ન હતી. ‘ફૂલ ઔર પથ્થર’ ધર્મેન્દ્રની સૌ પ્રથમ સુવર્ણ જયંતિ ઉજવનાર ફિલ્મ ગણાય છે. ‘હલચલ’માં તેમણે બે નવા ચહેરા ચમકાવેલા- કબીર બેદી અને ઝીનત અમાન. ઝીનત અમાનને વધુ પ્રસિદ્ધિ મળી ‘હરે રામ હરે કૃષ્ણ’ થી. અભિનેતા તરીકે રલ્હન ઠીક હતા.

જો કે, તેમની સૌથી જાણીતી અને લોકપ્રિય બની રહેલી ફિલ્મ એટલે ‘તલાશ’. ૧૯૬૯માં રજૂઆત પામેલી આ ફિલ્મના નિર્માતા- દિગ્દર્શક રલ્હન જ હતા. ફિલ્મમાં રાજેન્દ્ર કુમાર, શર્મિલા ટાગોર, બલરાજ સાહની, સુલોચના, ઓ.પી.રલ્હન, મદન પુરી જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મ મેં ૧૯૮૮ – ૮૯ની આસપાસ વડોદરામાં જોઈ ત્યારે બહુ આશ્ચર્ય થયેલું કે આવી નબળી કથાવાળી ફિલ્મ શી રીતે ચાલી ગઈ? જો કે, એનો જવાબ પણ ફિલ્મ જોતાં જ મળી ગયો. એ માટેનું એક કારણ એટલે એસ.ડી.બર્મનનું સંગીત. મજરૂહ સુલતાનપુરીએ લખેલાં કુલ આઠ ગીતો તેમાં હતાં, જેને સચીનદાએ સંગીતબદ્ધ કર્યાં હતાં. એમાંના અમુક ગીતોની મૂળ ધૂન રવીન્દ્ર સંગીતની હતી, છતાં એને સચીનદાએ એ રીતે શણગારેલાં કે આજે પણ એ સાંભળવાં ગમે છે. ‘કર લે પ્યાર કર લે કિ દિન હૈ યહી’ (આશા), ‘પલકોં કે પીછે સે ક્યા તુમને કહ ડાલા’ (લતા, રફી), ‘આજ કો ઝુનલી રાત મા’ (લતા, રફી અને સાથીઓ), ‘તેરે નૈના તલાશ કરે જિસે’ (મન્નાડે), ‘ખાઈ હૈ રે હમને કસમ’ (લતા), ‘કિતની અકેલી કિતની તનહા સી લગી’ (લતા) અને ‘મેરા ક્યા સનમ મેરી ખુશી હૈ તુમ્હારી’ (આશા, મહેન્દ્ર કપૂર). આ ગીતો આજે પણ તાજગીસભર જણાય છે.

(‘તલાશ’ની લોન્ગ પ્લે રેકર્ડનું કવર) જો કે, ફિલ્મનું શિરમોર ગીત મારી દૃષ્ટિએ તેનું ટાઈટલ સોન્ગ હતું. નાયક-નાયિકાના પ્રેમની મુખ્ય કથા હોય અને ટાઈટલ સોન્ગ મા વિશે, તેના મહિમાનું હોય એ જરા આશ્ચર્ય જણાય. પણ સચીનદેવ બર્મને પોતાના બુલંદ સ્વરે ગાઈને આ ગીતને એટલું ભાવસભર બનાવ્યું અને એટલી કોમળતાથી તેમાં ભાવ ઠાલવ્યા કે ફિલ્મનાં તમામ ગીતો પર એ હાવી થઈ ગયું એમ મને લાગે છે. આમ તો, આ ગીત ફિલ્મમાં બે ટુકડે આવે છે અને બન્ને વાર એનો અંતરો જુદો છે.
અમે વસાવેલી સૌ પ્રથમ બે કેસેટો પૈકીની એક એસ.ડી.બર્મને ગાયેલાં ગીતોની હતી. આથી આ ગીત ‘આદિકાળથી’ પ્રિય બની રહ્યું છે. ફિલ્મમાં એ સાંભળવાની એટલી મજા નથી, જેટલી એ દૃશ્યો વિના, માત્ર અવાજથી સાંભળવામાં આવે છે.
ગીતના શબ્દો આ મુજબ છે.
ओ……. माँ…माँ…माँ….
मेरी दुनिया है माँ, तेरे आँचल में
मेरी दुनिया है माँ, तेरे आँचल में
शीतल छाया तू, दुख के जंगल में।
मेरी दुनिया है माँ, तेरे आँचल मेंओ….मेरी राहों के दिये, तेरी दो अँखियाँ, तेरी दो अँखियाँ
ओ..ओ..ओ…मुझे गीता सी कहीं, तेरी दो बतियाँ,तेरी दो बतियाँ
युग में मिलता …
युग में मिलता जो,सो मिला है पल में।
मेरी दुनिया है माँ तेरे आँचल मेंओ….मैने आँसू भी दिये, पर तू रोई ना, पर तू रोई ना
मेरी निंदिया के लिये, बरसों सोई ना, बरसों सोई ना
ममता गाती….
ममता गाती रही, गम की हलचल में।
मेरी दुनिया है माँ तेरे आँचल में
शीतल छाया तू, दुख के जंगल में।
मेरी दुनिया है माँ तेरे आँचल मेंટાઈટલ્સ દરમિયાન આટલું ગીત સંભળાય છે. એ પછી બીજો અંતરો ફિલ્મમાં નાયકની માના મૃત્યુના દૃશ્ય વખતે આવે છે.
ओ…काहें न धो के पीउं, ये चरन तेरे माँ, ये चरन तेरे माँ,
ओ….देवता प्याला लिये, तरसे खड़े माँ,तरसे खड़े माँ,
अमृत छलका…
अमृत छलका है, इस गंगाजल में।
मेरी दुनिया है माँ तेरे आँचल में
शीतल छाया तू, दुख के जंगल में
मेरी दुनिया है माँ तेरे आँचल मेंઆ આખું ગીત આ લીન્ક પર સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ત્યારે અને અત્યારે : યુદ્ધની બદલાતી તાસીર
આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ર. વૈદ્ય
યુદ્ધ કથા: રમ્યા:
આ એક સંસ્કૃત કહવત છે, જેનો અર્થ થાય છે કે યુદ્ધની વાતો મનોરજક હોય છે. આવં કેમ કહ્યું હશે તેનું આશ્ચર્ય થાય. કદાચ એટલે હોય કે એ જમાનામા યુદ્ધ વસ્તીથી દૂર, મદાનોમા લડાતાં અને સૂર્યાસ્તની વળાએ બધ પણ કરાતાં. શક્ય છે કે સજયનું મહાભારતનું વર્ણન શહરીજનોને મનોરંજક લાગે, પરત ધૃતરાષ્ટ્રને તો ન જ લાગે. જેના માથા ઉપર યુદ્ધ ચાલતું હોય એવા નાગરિકોને માટે તો એ તકલીફ જ. ભલેને એનો દેશ જીતતો હોય.

સમય જતાં યુદ્ધનું સ્વરૂપ બદલાતું જાય છે. બહુ પ્રાચીન સમયને છોડો, તો ૫૦-૬૦ વર્ષ પહેલાં ભારતે લડેલાં ત્રણ યુદ્ધો પણ સરહદ ઉપર જ લડાયાં હતાં. પરંતુ આજના યુદ્ધની અસર દેશની સીમાની અંદર દૂર સુધી પડે છે. દુશ્મનની જમીન કબજે કરવાનો ઇરાદો ન હોય તો પાયદળના સૈનિકોએ સરહદ પાર પણ નથી કરવી પડતી. મિસાઇલ, ડ્રૉન અને સાહસ હોય તો બૉમ્બર વિમાનો ઘરબેઠે છોડી શકાય છે. બે વર્ષથી ચાલી રહેલાં રશિયા–યુક્રેન અને ઇઝરાયલ–ગાઝાનાં યુદ્ધો આનાં વરવાં ઉદાહરણ છે. અક્ષાંશ-રેખાંશ ખબર હોય તો GPSની મદદથી જે મકાનને તોડવું હોય તે જ તોડી શકાય, એમાં અંધારપટ (બ્લૅકઆઉટ) પણ નડતો નથી. સૈદ્ધાંતિક રીતે આવા યુદ્ધમાં નાગરિકોની જાનહાનિ થવી ન જોઈએ, પરંતુ વ્યવહારમાં તેનાથી ઊંધું જ બનતું આપણે જોઈએ છીએ.
આપણું પોતાનું છ માસ પહેલાંનું પાકિસ્તાન સાથેનું યુદ્ધ પણ આવું જ, ટેક્નોલૉજી આધારિત હતું. ભારતે મિસાઇલ તથા ડ્રૉનથી ત્રાસવાદીઓનાં રહેઠાણો ઉપરાંત વિમાની સેવાનાં યંત્રો નકામાં કરી દીધાં. આટલું થયા પછી જ્યારે યુદ્ધવિરામ થયો ત્યારે કેટલાય લોકો નારાજ થયા. એમની ઇચ્છા દુશ્મનને વધુ સજા કરવાની હતી; તેનું કારણ એ કે લડાઈ એક તરફી હતી. અમૃતસર, ભુજ કે જયપુર ઉપર દુશ્મનનાં વિમાનો ફર્યાં હોત કે પછી બ્લૅકઆઉટ ચાર શહેરમાં ચાર દિવસને બદલે ઘણાં શહેરોમાં ૧૪ દિવસ ચાલ્યો હોત તો કદાચ આવી યુદ્ધલોલુપતા ન દેખાઈ હોત. ૧૯૬૫ અને ૧૯૭૧માં પશ્ચિમ સરહદનાં ઘણાં શહેરોમાં અંધારપટ કરાતો હતો. સરહદ ઉપર યુદ્ધ હોવા છતાં શહેરના નાગરિકોને અસર તો પડતી જ. બંને લડાઈઓમાં ભારતનો હાથ ઉપર હતો તે છતાં યુદ્ધવિરામની જાહેરાત થઈ ત્યારે સર્વત્ર હાશકારાની જ લાગણી હતી. યુદ્ધની કથા રમ્ય હશે, પણ યુદ્ધ રમ્ય નથી હોતાં.
ભવિષ્યનાં યુદ્ધો કેવાં હોઈ શકે તેની કલ્પના કરી શકાય છે. યુદ્ધ માત્ર નબળા શત્રુ (પાકિસ્તાન) સાથે જ થાય એવુંય નથી; ચીન સાથે પણ થઈ શકે. આ સંદર્ભમાં ભૂતકાળમાં આપણે જોયેલાં યુદ્ધોનો ટૂંકો પરિચય કરવો અસ્થાને નથી. આ ત્રણેય લડાઈઓ પ્રણાલિકાગત (Conventional), સરહદ પરની લડાઈઓ હતી.
ચીન યુદ્ધ (૧૯૬૨) : દેશ માટે આ સૌથી પહેલું મોટું યુદ્ધ હતું. આથી અગાઉ આઝાદી પછી તરતના ગાળામાં પાકિસ્તાને કાશ્મીર ઉપર હલ્લો કર્યો હતો. ત્યારે માત્ર પાયદળ લડતાં તેથી એની અસર માત્ર સ્થાનિક પ્રજા ઉપર પડી, પણ દેશના બીજા ભાગોમાં એ માત્ર સમાચાર બનીને રહી ગઈ. ચીને તિબેટ હડપી લીધું તેથી દલાઈ લામાએ ભાગીને ભારતમાં શરણ લીધું. તેનાથી ચીન નારાજ હતું. ૨૦ ઑક્ટોબરે તેણે લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ (ત્યારે NEFA કહેવાતું) એમ બે દૂરદૂરના ખૂણે ઘૂસણખોરી કરી. તેનું બહાનું છે કે બ્રિટિશ રાજ્ય અને તિબેટ વચ્ચે જે સીમા નક્કી થઈ હતી તે એને મંજૂર નથી. એ સીમારેખાને મેકમોહન રેખા કહે છે.

તિબેટનો પઠાર આપણા કરતાં વધારે ઊંચાઈએ છે તેથી ચીનને એ સરહદે પહોંચવું સહેલું હતું, પરંતુ ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ લશ્કર પહોંચાડવું આપણે માટે અતિશય દુષ્કર હતું. શિયાળાની ઠંડીમાં એ સ્થળે લડાઈ કરવી લશ્કરને માટે પણ મુશ્કેલ. દેશના દૂરના ખૂણે લોકોને લડાઈના છાંટા ઊડ્યા નહોતા, કારણ કે બંને પક્ષોએ ઍરફોર્સનો ઉપયોગ નહોતો કર્યો . તે છતાં દેશના સામૂહિક માનસ ઉપર ઊંડી અસર થઈ, કારણ કે ચીનને આપણે મિત્ર માન્યું હતું તે છતાં હુમલો થયો. ચીનને આપણે પાછું ધકેલી ન શક્યા તેની નિરાશા અને ગુસ્સો પણ હતાં. આને કારણે દેશભક્તિનો જુદા પ્રકારનો જુવાળ જોવા મળ્યો. લોકો સરકારની સાથે ઊભા રહ્યા . સૈનિકોને લોહી અને સંરક્ષણ ફંડમાં ફાળો આપવા માટે લાઇનો લાગતી. ઉત્તર ભારતમાં લોકો સેનામાં ભરતી થવા લાગ્યા. વિદ્યાર્થીઓ એન.સી.સી. અને હોમગાર્ડમાં જોડાયા.
યુદ્ધના વર્ણનની આપણી પહેલી ફિલ્મ ‘હક઼ીક઼ત’માં સૈનિકોનાં કુટુંબોની લાગણી વ્યક્ત થઈ. જાણીતું ગીત ‘અય મેરે વતન કે લોગોં…’ એ વખતે લખાયું અને શાળા-કૉલેજોમાં ખૂબ ગવાયું, ત્યારે તો શ્રોતાઓને એ ગીત સાંભળતાં આંસુ આવતાં. રેડિયો ઉપર જયમાલા અને જયભારતી જેવા કાર્યક્રમો લશ્કરના જવાનો માટે પ્રસારિત થવાનું શરૂ થયું. એ વાતાવરણ ૧૯૬૫ સુધી ચાલ્યું અને ત્યારે તેની ફરીથી જરૂર પડી.
યુદ્ધ અને અંધારપટ: ૧૯૬૫ના પહેલા અઠવાડિયામાં પાકિસ્તાને કોઈ ઉશ્કેરણી વિના યુદ્ધ શરૂ કર્યું. એના ટ્રેલર રૂપે માર્ચ મહિને કચ્છ સરહદે તેણે છમકલાં કર્યાં જ હતાં. તે વેળા જ ત્યાંના લોકોને લશ્કરી વાહનોની હેરફેરનો અનુભવ થઈ ગયો હતો. શહીદોના મૃતદેહો પોલીસ લાઇન્સમાં આવીને પછી એમના ગામે મોકલાતા હતા. આ રીતે ગમગીની અને લડાઈનું વાતાવરણ પહેલાં જ હતું. પરંતુ ઑગસ્ટ પછી તેમાં નવું પાસું ઉમેરાયું, તે હવાઈ હુમલાના ડરનું. પહેલી વાર બંને દેશોએ હવાઈ દળને યુદ્ધમાં ઉતાર્યું હતું. કચ્છ, રાજસ્થાન અને પંજાબ એમ આખી સરહદે મોરચા ખૂલ્યા હોવાથી પશ્ચિમ સરહદનાં બધાં શહેરોમાં રાત્રીનો અંધારપટ જાહેર થયો.

ફ્લાઈટ લેફ્ટનન્ટ ટ્રેવર કીલરે ૩ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ છાંબ વિસ્તારમાં ૧૯૬૫ના યુદ્ધનું IAF વતી ખાતું ખોલ્યું | By special arrangement યુદ્ધ દોઢ મહિનો ચાલ્યું, તેથી અંધારપટ માટે વીજળી બોર્ડ સપ્લાય જ બંધ કરી દે તેવું વ્યાવહારિક નહોતું. નાગરિકો ઉપર જવાબદારી હતી કે તેઓ તકેદારી રાખે કે પોતાના ઘરમાંથી પ્રકાશ બહાર ન જાય; ન શેરીમાં પડે ન આકાશમાંથી દેખાય. એ જમાનામાં બારીઓ લાકડાની જ બનતી તેથી બારી બંધ કરવાથી કામ ચાલી જતું. તેમાં જો મોટી તિરાડો હોય તો તેના ઉપર કાગળ ચોંટાડી દેતા. બારણાં ઉપર વેન્ટિલેટર કાચનાં હોય તો તેને પણ કાગળ લગાડવાનો. રાત્રે નાગરિક સંરક્ષણ (સિવિલ ડિફેન્સ)ના યુવાન સ્વયંસેવકો, હોમગાર્ડ વગેરે ગલીઓમાં ફરતા અને બ્લૅકઆઉટનું યોગ્ય પાલન થાય છે કે નહીં તે જોતા. કદાચેય હવાઈ હુમલામાં બૉમ્બ પડે તો શું કરવું તેની એ લોકોને તાલીમ અપાઈ હતી. રડાર ઉપર દુશ્મનનું વિમાન કે કોઈ શંકાસ્પદ ચલન દેખાય કે તરત શહેરમાં ઠેક ઠેકાણે મૂકેલાં સાયરન ગરજી ઊઠતાં. અવાજની તીવ્રતા ઉપર-નીચે થાય તેવું આ સાયરન જ ભય પેદા કરતું. તે વખતે ધરતીકંપમાં લઈએ તેવી કાળજી લઈ સલામત સ્થળે સંકોચાઈને બેસી રહેતા. ભય ટળી જાય ત્યારે ‘ઑલ ક્લિયર’નું સીધું વાગતું સાયરન બોલે. લોકોને એ અવાજ મિત્રનો અવાજ લાગતો!
આવી એક અંધારી સાંજે વડા પ્રધાન શાસ્ત્રીજી આકાશવાણી પર આવ્યા. તેમણે કહ્યું કે સેનાના વડા મારી પાસે આવ્યા હતા. મેં એમને કહ્યું છે કે ‘બહાદુરો, આગે બઢો, દેશ આપકે સાથ હૈ.’ એ પછી થોડા દિવસે ભારતની સેના લાહોરના પાદરે પહોંચી ગઈ. રાવી નદીની આ પાર આપણી સેના અને સામે લાહોર. માર્ગ માં ખેમકરણ પાસે આપણે અમેરિકાની બનાવેલી ‘પેટન’ ટૅન્કો નો ખુરદો બોલાવ્યો. આ કામમાં જીવ ગુમાવનાર હવાલદાર અબ્દુલ હમીદને મરણોત્તર પરમવીર ચક્ર મળ્યું . પરંતુ ગુજરાતે પોતાના મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય મહેતાને ગુમાવ્યા. પરાજયનો સામનો કરી રહેલાં પાકિસ્તાને કચ્છના આકાશમાં સિવિલિયન પ્લેનને તોડી પાડ્યું, જેમાં એમનાં પત્ની પણ સાથે હતાં.

ખેમકરણમાં પેટન ટેન્કનું કબ્રસ્તાન પરમ વીર ચક્ર અબ્દુલ હમીદ રશિયાની દરમિયાનગીરીથી યુદ્ધ ત્રેવીસમી સપ્ટેમ્બરે રોકાયું. ચીન સામે હાર પછી આ જીતથી દેશમાં નવો આત્મવિશ્વાસ આવ્યો. જોકે એ વર્ષે દુકાળ પડ્યો હતો અને અમેરિકાએ P.L. 480 હેઠળ મોકલાતી અન્નની મદદ બંધ કરી, તેથી અનાજની તંગી વરતાઈ. શાસ્ત્રીજીએ લોકોને સોમવારે એકટાણું કરવાની અપીલ કરી. લોકોએ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો. આખા દેશમાં ‘શાસ્ત્રીજીના સોમવાર’ના નામે એ ઉપવાસ પ્રચલિત બન્યા. તેમણે ‘જય જવાન, જય કિસાન’નું સૂત્ર પણ આપ્યું. એ બહાને હરિત ક્રાંતિનાં બીજ રોપાણાં.
બાંગ્લા દેશ માટે લડાઈ : ૧૯૭૧થી પહેલાં પાકિસ્તાન દેશ બે ભાગમાં વહેંચાયેલો હતો : પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન. પૂર્વ ભાગની બંગાળી પ્રજાએ સ્વાતંત્ર્ય ચળવળ ઉપાડી તેથી સૈન્યે ત્યાં ભીષણ અત્યાચાર ચલાવ્યો. તેના કારણે ૯૦ લાખ લોકો ભાગીને ભારત આવ્યા અને શરણાર્થી તરીકે રહ્યા. આ દબાણ હેઠળ ભારતની ગુપ્તચર સંસ્થા (RAW) તથા આપણી સેનાએ બંગાળી યુવાનોને ગેરીલા યુદ્ધની તાલીમ આપવી શરૂ કરી. આ પરિસ્થિતિમાં પાકિસ્તાન પશ્ચિમ મોરચે લડાઈ શરૂ કરે તે શક્ય હતું. આથી ભારત પણ તૈયારી કરતંુ હતંુ તે વાત જાણીતી છે. તેથી આગોતરા બચાવ તરીકે (preemptive strikeમાં) પાકિસ્તાને ત્રીજી ડિસેમ્બરના રોજ આપણાં ઘણાં બધાં હવાઈ મથકો ઉપર બૉમ્બમારો કર્યો. જેની રાહ વાતી જ હતી તે ખૂનખાર યુદ્ધ આમ શરૂ થયું.
ગઈ લડાઈ કરતાં વધારે સંખ્યામાં હવાઈ હુમલાઓની સાથોસાથ આ વખતે બંને દેશનાં નૌકાદળ પણ યુદ્ધમાં ઊતર્યાં. બીજા જ દિવસે પાકિસ્તા ની સબમરીને આપણી યુદ્ધ નૌકા ‘ખુકરી’ને દીવ નજીક ડુબાડી દીધી. તેના જવાબમાં પૂર્વ કાંઠે વિશાખાપટ્ટનમ્ પાસે આપણે તેની એક સબમરીનને તોડી પાડી. પૂર્વ પાંખને એ લોકો મદદ ન પહોંચાડી શક્યા તેથી છેવટે ૧૬ ડિસેમ્બરે પાકિસ્તાનનું જે સૈન્ય ત્યાં હતું તેણે ઢાકામાં ભારત સામે સમર્પણ કર્યું. આપણે બંને મોરચે યુદ્ધવિરામ જાહેર કર્યો. નવા દેશ ‘બંગલા દેશ’નો આમ જન્મ થયો.

ઓછા દિવસોનું હોવા છતાં આ યુદ્ધ ૧૯૬૫ કરતા વધારે તીવ્ર હતું. દેશનો આખો સમુદ્રકિનારો યુદ્ધના વાતાવરણમાં હતો. પાકિસ્તાની વિમાનોની ઉડાન આ વખતે દૂર સુધી ફેલાઈ હતી. એ વખતે ટેલિવિઝન ચૅનલો ન હતી. દૂરદર્શનનું એકમાત્ર કેન્દ્ર દિલ્હીમાં હતું, જે આકાશવાણી (રેડિયો) હેઠળ હતું, મુખ્યત્વે રેડિયો સમાચાર આપતો. એ જમાનામાં વર્તમાનપત્રો રણમોરચે ન જતાં, પરંતુ સ્રોતો પાસેથી મેળવેલી માહિતી આપવા વિશે કોઈ નિયંત્રણ ન હતાં. તેમ છતાં છાપાં સત્ય શોધક હોવાની સાથોસાથ જવાબદાર પણ હતાં. લોકોનો જુસ્સો ટકી રહે અને છતાં સમાચાર મળતા રહે તેવા સંયમથી કામ કરતાં. બીજી તરફ યુદ્ધ કરતા દેશોએ એકબીજાના નાગરિકોને યુદ્ધમાં ન સંડોવવાનો સંયમ રાખ્યો તે પણ નોંધપાત્ર છે.

રાજકીય સમીકરણો અને ટેક્નોલૉજીના કારણે ભવિષ્યનાં યુદ્ધો માત્ર સરહદ પૂરતાં સીમિત રહે એવું માની ન શકાય. ૮૦ વર્ષ પહેલાં વપરાયેલું અને છતાં આધુનિક ગણાય તેવું શસ્ત્ર, તે પરમાણુ બૉમ્બ. એનો ઉપયોગ પણ કેમ, ક્યારે અને ક્યાં થાય તે ભાખવું સરળ નથી. આ વિવિધ સંભાવનાઓ માટે નાગરિકોની તૈયારી પણ જુદા પ્રકારની જોઈશે. આ બધાં છતાં ત્યાર જેવું કે અત્યારના પ્રકારનંુ યુદ્ધ જોવું ન પડે તેવી આશા રાખીએ.
બધી સાંદર્ભિક તસવીરો – નેટ પરથી
સૌજન્યઃ નવનીત સમર્પણ, નવેમ્બર, ૨૦૨૫
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કટ ઍન્ડ પૅસ્ટ આર્ટ – ૧
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendra Shah’s Kalasampoot – Cut and paste art – 1
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
સંસ્કૃત – શ્લોક/સુભાષિતો : પ્રિય વાણી
દેવિકા ધ્રુવ
શ્લોકઃ
प्रियवाक्य प्रदानेन् सर्वे तुश्यन्ति जन्तवः
तस्मात् तदेव् वक्तव्यं वचने का दरिद्रता॥સમાસ વિભાજન અને શબ્દશ: ગુજરાતી અર્થ:
प्रियवाक्य= प्रिय+वाक्य, प्रिय=પ્રિય,સારી,મીઠી, वाक्य=વાણી; प्रदानेन्=બોલવાથી, આપવાથી, सर्वे=બધાં, तुश्यन्ति=પ્રસન્ન થાય છે.; जन्तवः=પ્રાણીઓ, મનુષ્યો,
तस्मात्= તેથી, तदेव्=तद्+ एव्=तद्=તેવી, તેવું, एव्=જ, वक्तव्यं=બોલવું જોઈએ.; वचने=બોલવામાં, વાણીમાં, का=કેમ, શા માટે, दरिद्रता= ગરીબાઈ,કંજૂસાઈ?
શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ
પ્રિય વાણી બોલવાથી સૌ કોઈ પ્રસન્ન થાય છે, સંતોષ પામે છે. તેથી હંમેશાં સારી વાણી જ બોલવી જોઈએ. બોલવામાં વળી કંજૂસાઈ શું કરવી?
વિચારવિસ્તારઃ
આ શ્લોકનો ભાવાર્થ એ છે કે, જ્યારે આપણે બીજાંઓ સાથે આદર અને સન્માનપૂર્વક વાત કરીએ છીએ તો સાંભળનાર વ્યક્તિ ખુશ થાય છે અને આપણા તરફ સારો ભાવ રાખે છે. તે ઉપરાંત, આપણા જીવન-વ્યવહારમાં પણ એક પ્રકારની સકારાત્મકતા આવે છે. તેથી દરેકે પ્રિય વાણી બોલવી જોઈએ. “સારા શબ્દો બોલવામાં શું કંજૂસાઇ કરવાની?” એમ કહી હળવી રીતે સારી વાણી બોલવાનું મહત્ત્વ દર્શાવ્યું છે.
Sanskrit shlok in English script :
Priya vaakyam pradaanen sarve tushyanti jantavah
tasmat tadev vaktavyam vachane ka daridrata?Word to word meaning in English:
Priya=Good, vaakyam= speech, Pradaanen-by saying,; sarve= everyone, Tushyanti =happy, jantavah= human beings;
tasmaat= that’s why, tadev=tad+ev- like that, Vaktavyam=should speak,; Vachane=in good words, ka=why ? daridrata?= be miser? make adjustment?
Translation in English:
Everyone becomes happy by listening to listen good, humble and respectful words. so, one should speak that kind of language. Why to be miser in saying good words?
Devika Dhruva.
ddhruva1948@yahoo.com| http://devikadhruva.wordpress.com -
જે જાણતું તે મારતું, એ ક્રમ દીસે અકુદરતી
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ટેક્નોલોજી બેધારી તલવાર હોય છે. તેનો ઊપયોગ ચમત્કારિક પરિણામ લાવી શકે છે, પણ તે યોગ્ય રીતે ન પ્રયોજાય તો તેનાથી થતું નુકસાન ભરપાઈ કરી ન શકાય એવું હોય છે. એનો અર્થ એ કે તેનો છેવટનો આધાર તે કોના હાથમાં છે એની પર છે.
કેમેરા અને બીજાં આધુનિક સાધનો થકી વન્ય જીવો વિશેની અનેક વિગતો જાણી શકાય છે, તેમ તેમની સમસ્યાઓ પણ પારખી શકાઈ છે. વન્ય જીવોની તસવીરો લેવાનો શોખ અનેક લોકોને હોય છે. અનેક કિસ્સામાં આવા શોખીનો દ્વારા કેટલીય દુર્લભ પ્રજાતિઓ વિશે જાણવા મળતું રહ્યું છે. પણ ઘણા કિસ્સામાં આવા શોખીનો અજાણતાંમાં કેવું નુકસાન કરી બેસે છે એનો નમૂનેદાર કિસ્સો પશ્ચિમ ઘાટનાં જંગલોમાં બન્યો છે.
વનોની પોતાની એક આગવી જૈવપ્રણાલિ હોય છે. તેમાં અનેક પ્રજાતિઓ એકમેક પર અવલંબિત હોય છે. અહીં કોઈ વૃક્ષ ધરાશાયી થઈ જાય તો એ જમીન પર જ પડ્યું રહે છે. એનું પણ આગવું મહત્ત્વ છે. પશ્ચિમ ઘાટના કેરળમાં આવેલા કેટલાક વિસ્તારમાં ‘ગેલેક્સી ફ્રોગ’ નામના દેડકાની પ્રજાતિ જોવા મળે છે, જેનું જીવવિજ્ઞાનનું નામ ‘મેલાનોબાટ્રેકસ ઈન્ડિકસ’ છે. નામ મુજબ જ તેમનો રંગ કાળો અને તેમાં તારા આકારનાં સફેદ ટપકાં હોય છે. આકાશગંગા જ જોઈ લો. આ પ્રકારના દેડકા મુખ્યત્વે જમીન પર આડા પડેલા થડની નીચે રહે છે અને વિકસે છે. તેની લંબાઈ બે સે.મી.થી લઈને સાડા ત્રણ સે.મી. સુધીની હોઈ શકે છે, અને તે નવસો મીટરની ઊંચાઈએ જોવા મળે છે. અમસ્તા પણ આ પ્રજાતિના દેડકા દુર્લભ અને તેથી જોખમગ્રસ્ત ગણાતા હતા.
પશ્ચિમ ઘાટના આ વિસ્તારમાં આવા સાત દેડકા હતા. એક સ્થળે આડા પડેલા પચીસેક થડની નીચે તે વસતા હતા. થોડા સમય અગાઉ સંશોધકોની એક ટીમને પોતાની તપાસમાં જણાયું કે આ પચીસે પચીસ થડ ઊલટાવાઈ ગયેલાં છે, આસપાસના વિસ્તારમાં ઊગેલી વનસ્પતિ ચગદાઈ ગઈ છે, અને પેલા સાતે દેડકા ગાયબ છે. વધુ તપાસમાં જાણવા મળ્યું કે તસવીરકારોનું એક જૂથ આવેલું, જેણે આ દેડકાંને શોધવા માટે પેલાં થડિયાં ઊથલાવ્યાં, વધુ તીવ્રતાવાળી ફ્લેશગનથી તસવીરો લીધી, તસવીરમાં સારી પૃષ્ઠભૂમિ મળે એટલા માટે તેમને બીજે ગોઠવ્યા, અને હાથમોજાં પહેર્યા વિના તેમણે આમ કર્યું. આને કારણે એ દેડકાંમાં નિર્જળીકરણ, તણાવ તેમજ રોગનું સંક્રમણ થઈ શકે. ચારથી છ તસવીરકારો એના એ જ દેડકાની તસવીરો લેતા રહયા અને આવું સતત ચચ્ચાર કલાક સુધી ચાલ્યું.

Galaxy frogs in the Western Ghats. | KP Rajkumar/ZSL, via Mongabay.
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીઅમેરિકન સંસ્થા ‘સોસાયટાસ યુરોપીઆ હર્પેટોલોજિકા’ (એસ.ઈ.એચ.)ના પ્રકાશન ‘હર્પેટોલોજી નોટ્સ’માં આ અહેવાલ પ્રકાશિત થતાં આ હકીકતની જાણ થઈ. આ અહેવાલના મુખ્ય લેખક કે.પી.રાજકુમાર છે. તેમણે આ બાબતે વધુ જણાવ્યું છે કે: ‘આ દુ:ખદ ઘટના, અનિયંત્રીતપણે કરવામાં આવતી ફોટોગ્રાફીનાં પરિણામો કેવાં આવી શકે એ હકીકતની ગંભીર ચેતવણી સમાન છે. પોતાના રંગ તેમજ દુર્લભતાને કારણે આ દેડકાંને ફોટોગ્રાફરો શોધતા હોય છે. પણ એ ધ્યાન રાખવું જોઈએ કે આ દેડકાની તસવીરો લેવા માટેના ઉત્સાહમાં એ જ તસવીરકારો દ્વારા તેમનું નિકંદન ન નીકળી જાય. એ પણ એક વક્રતા જ કહી શકાય કે તેની દુર્લભતાને કારણે કેમેરામાં તેમને ઝડપવાની હોડ તેમને દુર્લભ અને ભૂતકાળની ચીજ બનાવી રહી છે. તે હવે તસવીરોમાં જ જોઈ શકાશે.’
રાજકુમારે વધુમાં કહેલું, ‘ફોટોગ્રાફીને યોગ્ય રીતે કરવામાં આવે તો તે સંરક્ષણકર્તાને વિવિધ પ્રાણીઓ ક્યાં રહે છે, શી રીતે વર્તે છે વગેરે બાબતો સમજવામાં મદદરૂપ બને છે. આવી તસવીરો એ અદ્ભુત પ્રજાતિઓ વિશે શીખવામાં પણ મદદ કરે છે. પણ બેજવાબદારીપૂર્વક કરાયેલી ફોટોગ્રાફી જોખમી બની શકે છે.’ ભારતના જીવવિજ્ઞાની ઝીશાન મિર્ઝાએ પશ્ચિમ ઘાટ વિસ્તારમાં સાઠ જેટલી નવી પ્રજાતિઓ શોધેલી છે. તેમણે કહ્યું, ‘કેટલીક પ્રજાતિઓનું નામકરણ થાય એ પહેલાં જ તે લુપ્ત થઈ જશે.’ મિર્ઝાના જણાવ્યા અનુસાર જૈવવિવિધતાનાં મુખ્ય સ્થળો પરનો ખતરો વધતી જતી માનવવવસતિ છે. આ ખતરા સાથે સંકળાયેલાં અન્ય તમામ પરિબળો માનવવસતિ સાથે જ સંકળાયેલાં છે. ચા અને કોફીના બગીચા માટે પશ્ચિમ ઘાટનાં જંગલોનું ખેતીલાયક જમીનમાં રૂપાંતર કરવામાં આવે છે. ગામની સીમા વિસ્તરતી રહી છે, જંગલોની વચ્ચેથી વાહનમાર્ગ બનાવવામાં આવે છે. પ્રવાસીઓને આકર્ષવા માટે પણ અવનવાં ગતકડાં કરવામાં આવે છે, જેમાં ઘોંઘાટ અને પ્રદૂષણ સિવાય કશું હોતું નથી. એમાં હવે ભળી છે ફોટોગ્રાફી, જેનો મૂળભૂત આશય શુભ હોવા છતાં તે ઘાતક નીવડી શકે છે.
હજી જેમની ઓળખ તો શું, જાણ થવી પણ બાકી છે એવી અનેક પ્રજાતિઓ આવા ઘટનાક્રમનો ભોગ બની હશે અને હજી બનતી રહેશે.
કુદરતે દરેકેદરેક પાસાંનો વિચાર કરેલો છે. પણ માનવે જ્યારથી કુદરતી ક્રમમાં દખલગીરી કરી એ પછી તેણે પોતાની સાથે સાથે અન્ય જીવોનો પણ વિનાશ નોંતર્યો છે. અસ્તન એટલે કે સસ્તન ન હોય એવી શ્રેણીના પ્રાણીઓનો રંગ એકદમ તેજસ્વી હોય છે, જે શિકારી પ્રાણીઓ માટે એક પ્રકારે ચેતવણી છે કે આ જીવ ખાદ્ય નથી. પણ કેમેરાની, સામાજિક નેટવાર્કિંગ માધ્યમ નામના પ્રાણીની ભૂખ અને વૃત્તિની જાણ કુદરતને શી રીતે હોય? એ ભૂખે જ ગેલેક્સી ફ્રોગ જેવી દુર્લભ પ્રજાતિનો ભોગ લીધો.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૫ – ૨– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
નિસબત
ચંદુ મહેરિયા
સર્જાતા સાહિત્યનું આત્મકથા સ્વરૂપ મોટેભાગે આપવીતી, સ્મરણો કે બચાવનામા માટે આલેખાતું હોય છે. ઓશો રજનીશ આત્મકથાને અહંકાર કથા કહેતા હતા. પરંતુ માનવ ઉત્ક્રાંતિના સત્યના શોધક ચાલ્સ ડાર્વિન( (જન્મ- ૧૨મી ફેબ્રુઆરી, ૧૮૦૯, અવસાન- ૧૯મી એપ્રિલ, ૧૮૮૨ )ની આત્મકથા જરા જુદા ઉદ્દેશથી લખાયેલી છે.
ડાર્વિન લિખિત પચાસ કરતાં વધુ પુસ્તકો તેમની હયાતીમાં જ પ્રકાશિત થયાં છે. પરંતુ તેમણે આત્મકથા પોતાના સંતાનો માટે જ લખી હતી અને પ્રગટ કરી નહોતી. વ્યક્તિગત અને અંતરંગ પ્રકારનું આ આત્મકથ્ય તેમના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિને તેમના અવસાન પછી સંપાદિત કરી પ્રગટ કર્યું હતું. અવસાનના છ વરસો પૂર્વે ૧૮૭૬માં આ આત્મકથા લખાઈ હતી. તેમાં ડાર્વિનના મન અને વ્યક્તિત્વ વિકાસનું એટલું સરસ આલેખન છે કે ‘ જે વ્યક્તિને ડાર્વિનની આત્મકથાની ખબર નથી તે ડાર્વિન વિશે કશું જાણતો નથી’ એમ કહેવાય છે. મૂળે રી-કલેક્શન્સ ઓફ ડેવલપમેન્ટ ઓફ માય માઈન્ડ શિર્ષકે લખાયેલી અને CHARLES DARWIN’S AUTOBIOGRAPHY[1] ( હિંદી અનુવાદ- ચાલ્સ ડાર્વિન કી આત્મકથા) નામે છ પ્રકરણો અને ૧૦૪ પૃષ્ઠમાં સંપાદિત ડાર્વિનની આત્મકથા સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ છે.

ડાર્વિને આત્મકથામાં લખ્યું છે તે પ્રમાણે ભણવામાં તેઓ નાની બહેન કરતાં પણ નબળા હતા અને બીજા અનેક બાળકોની જેમ તોફાની હતા. આઠ વરસની વયે તેમણે માતા ગુમાવ્યા હતા. તેમના પિતા એટલા ધનાઢ્ય હતા કે તેમને ક્યારેય જીવનનિર્વાહ માટે કોઈ કામ-ધંધો કરવો પડ્યો નથી.શાળા શિક્ષણમાં ઠોઠ ડાર્વિનની રુચિ પ્રકૃતિને જાણવામાં તેજ હતી. જીવ-જંતુ, વનસ્પતિ, પશુ-પંખી અને જમીનના સૂક્ષ્મ અવલોકનો કરવા અને તેની નોંધો કરવી, નિશાનેબાજી અને શિકાર તેમના પ્રિય કામો હતા.પરંતુ પિતાને આ ગમતું નહીં.એટલે પિતાએ એક વાર કહ્યું હતું ” તું ખુદના માટે અને પરિવાર માટે એક કલંક બની રહેશે. ”
૧૮૨૮ થી ૧૮૩૧ સુધી ડાર્વિન કેમ્બ્રિજ-એડિનબર્ગમાં ભણતા હતા. પિતા તેમને ડોકટર બનાવવા માંગતા હતા પરંતુ તેમનું ચિત્ત બીજી દિશામાં હતું.એટલે તેમને ધાર્મિક શિક્ષણ અપાવી પાદરી બનાવવા વિચાર્યું. આ માટે ડાર્વિન પણ તૈયાર થઈ ગયા. કોઈ ગ્રામીણ વિસ્તારમાં પાદરીનું કામ કરવાનો વિચાર તેમને ગમ્યો હતો એટલે તેમણે ધર્મશાસ્ત્રો સંબંધી પુસ્તકો વાંચવા માંડ્યા. આત્મકથામાં ડાર્વિન લખે છે,” પછીથી કટ્ટરપંથીઓએ (જે રીતે મારા ઊત્ક્રાંતિવાદના સિધ્ધાંતની) ટીકા કરી તેને જોઈને મને એ વાત ભારે વિચિત્ર લાગી કે મેં કદી પાદરી બનવાનું વિચાર્યું હતું”
ભૂસ્તરશાસ્ત્ર, પ્રકૃતિ વિજ્ઞાન, જીવશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, તત્વજ્ઞાન અને સાહિત્યમાં ડાર્વિનની રુચિ હતી. તેઓ તેમના રસ-રુચિના વિષયના અભ્યાસ માટે કઠોર પરિશ્રમ કરતા હતા. તેમણે લખ્યું છે કે, ” કોઈ વ્યક્તિ જેટલો કઠોર પરિશ્રમ કરી શકે છે, મેં એટલો પરિશ્રમ કર્યો છે. આનાથી વધુ પરિશ્રમ કોઈ ન કરી શકે” દુનિયાના સર્વેક્ષણ માટે દરિયાઈ સફરે જતા બીગલ જહાજમાં એક પ્રકૃતિ વિજ્ઞાનના ચાહક તરીકે ડાર્વિનને જગ્યા મળી. અતિ જોખમી અને સાહસપૂર્ણ એવી સમુદ્રી જ્ઞાનયાત્રા લગભગ પાંચ વરસ( ૨૭ ડિસેમ્બર, ૧૮૩૧ થી બીજી ઓકટોબર ૧૮૩૬) ચાલી હતી. સંશોધક ડાર્વિને આ યાત્રામાં ભરપૂર કામ કર્યું. સવા મહિનો ગાલાપાગોસના નિર્જન ટાપુ પર ગાળ્યો. હજારો નમૂના એકઠા કર્યા અને તેથી પણ વધુ હજારો પાનાંની નોંધો તથા ટિપ્પણીઓ તેમણે પ્રવાસ દરમિયાન કરી હતી.
આત્મકથાના અંતિમ પ્રકરણમાં ડાર્વિને તેમના વિવિધ પુસ્તકો વિશે લખ્યું છે. ” ઓરિજિન ઓફ સ્પીસીઝ” તેમનું કીર્તિદા પુસ્તક છે. પુસ્તકનું આખું નામ તો લગભગ ૨૫ શબ્દોનું છે. ડાર્વિનને ઉત્ક્રાંતિવાદનો વિચાર કોઈ તેજ ઝબકારની રીતે આવ્યો નહોતો..પરંતુ તેની પાછળ તેમની ૨૦ વરસોની જ્ઞાન અને સંશોધન સાધના હતી. ૧૮૫૯માં “ઓરિજિન ઓફ સ્પીસીઝ” પ્રગટ થયું ત્યારે ભારે ખળભળાટ મચ્યો હતો. માનવ ઉત્ક્રાંતિ અંગેની ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ કરતાં તે જુદા વિચારો ધરાવતું હતું. આ પુસ્તકના લઘુ સંસ્કરણની ૧૨૫૦ નકલો પ્રકાશનના દિવસે જ વેચાઈ ગયાનું ડાર્વિને નોંધ્યું છે. જેમાં ડાર્વિને મનુષ્યના વંશજ તરીકે વાનરને દર્શાવ્યા છે તે પુસ્તક ” ડિસેન્ટ ઓફ મેન” છે. જે ૧૮૭૧માં પ્રગટ થયું હતું. તે પછીના વરસે ” એક્સ્પ્રેશન ઓફ ધ ઈમોશન્સ ઈન મેન એન્ડ એનિમલ” પ્રકાશિત થયું હતું. કોઈ સામાન્ય લેખકની જેમ ડાર્વિન પણ પોતાના પુસ્તકોની કેટલી નકલો વેચાઈ અને તેની કેટલી સમીક્ષાઓ પ્રગટ થઈ તેની નોંધ રાખતા હતા અને આત્મકથામાં તે હરખ –શોક સાથે જણાવે પણ છે.
ડાર્વિનની તસવીરોમાં તેઓ લાંબી દાઢીધારી અને ગંભીર પ્રકૃતિના જણાય છે. પરંતુ આત્મકથામાંથી પસાર થતાં તેમની ભીતર રહેલું સંવેદનશીલ માનવ હ્રદય દેખાઈ આવે છે. એડિનબર્ગમાં એક સંશોધકના સહાયક તરીકે કામ કરતા બ્લેકનો ઉલ્લેખ તે આદર સાથે કરે છે. આ શ્યામવર્ણી વ્યક્તિ પક્ષીઓની ખાલ ભરીને તેને જીવિત પક્ષીનો આકાર આપી વેચવાનું કામ કરતો હતો. ડાર્વિન તેને પૈસા આપીને તેના જ્ઞાનનો લાભ લેતા હતા.
જે બીગલ જહાજના કપ્તાન ફિટ્જ-રોયની કૃપાથી ડાર્વિનને તેમની કેબિનના એક ભાગમાં યાત્રા કરવાનો મોકો મળ્યો હતો તેમણે બીગલ બ્રાઝિલમાં હતું ત્યારે એક વાર વાતચીતમાં ગુલામી પ્રથાની સરાહના અને સમર્થન કર્યુ. ડાર્વિનને ગુલામી પ્રથા સામે વિરોધ અને ઘૃણા હતી. એટલે આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ અને કેપ્ટને ગુલામીના વિરોધની દલીલો કરવા બદલ ડાર્વિનને લાફો મારી કાઢી મૂક્યા હતા.બાવીસ વરસના યુવાન ડાર્વિને આ અપમાન સહી લીધું પણ ગુલામીનું સમર્થન ન કર્યું. એક મહાન વૈજ્ઞાનિકની આ સામાજિક નિસબત સલામલાયક છે.
સાહિત્ય , સંગીત, નાટક, કવિતા, વાચન વગેરે તેમના જીવનના ભાગ હતા. જોકે સમય બદલાતાં તેમની રસરુચિ પણ બદલાઈ હતી. આત્મકથામાં ડાર્વિન પોતાનો મત કે અભિપ્રાય બેઝિઝક આપે છે. જેમકે સ્કૂલી છાત્ર તરીકે શેક્સપિયરના નાટકો તેમને વાંચવા ગમતાં અને આનંદ આપતા હતા પણ ઉમરના પાછલા પડાવે તેમને શેક્સપિયર વાંચવા અસહ્ય, નિરસ અને ઉબાઉ લાગ્યા હતા. નવલકથાના સુખાંતના તેઓ તરફદાર હતા એટલું જ નહીં નવલકથાના દુખાંત વિરુધ્ધ કાયદો બનાવવો જોઈએ તેમ માને છે. શિકારને તેઓ એક પ્રકારનું બૌધ્ધિક કાર્ય ગણે છે. શિક્ષણ અને શિક્ષકો વિશે પણ તેમણે આકરી ટીકાઓ કરી છે.
” વિજ્ઞાન પ્રત્યે પ્રેમ, કોઈ વિષય પર લાંબા સમય સુધી ચિંતન કરવાનું અસીમ ધૈર્ય, તથ્યોને સંકલિત કરી પ્રેક્ષિત કરવા માટેનો પરિશ્રમ , પર્યાપ્ત કલ્પનાશીલતા અને સહજ બુધ્ધિ” ને ડાર્વિન અતિ નમ્રતા સાથે પોતાની સાધારણ વિશેષતાઓ જણાવે છે. તેમને એ વાતનું આશ્ચર્ય છે કે ” આટલી સાધારણ વિશેષતાઓ છતાં કેટલીક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ધારણાઓને તેમણે ઘણી હદે પ્રભાવિત કરી છે.”
ડાર્વિનના જન્મને બસો કરતાં વધુ અને ઊત્ક્રાંતિવાદના સિધ્ધાંતને દોઢસો કરતાં વધુ વરસો પસાર થઈ ગયા છે. પરંતુ ડાર્વિન અને તેમનો ઉત્ક્રાંતિવાદ વધુને વધુ પ્રસ્તુત છે ત્યારે ગુજરાતના વિજ્ઞાનચાહકો અને અનુવાદકો માટે એ પડકાર છે કે હવે ગાંધી ગિરા ગુજરાતીને વધુ સમય માટે ડાર્વિનની આત્મકથાથી વંચિત ન રાખે.
[1] The Autobiography of Charles Darwin by Charles Darwin
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
