વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • હૃદયતપની અમરવેલ

    ભરત સાંગાણી

    વિશાળ અને અનંત જણાતા રણપ્રદેશની મધ્યમાં, જ્યાં ક્ષિતિજ રેખા રેતીના ઢૂવાઓ સાથે ભળી જતી હતી, ત્યાં એક વિચિત્ર શાંતિ પ્રસરેલી હતી. આ રણ કોઈ ભૌગોલિક સ્થળ નહોતું, પણ કદાચ મનુષ્યના અંતરની શૂન્યતાનું પ્રતીક હતું. અહીં અજીત નામનો એક મુસાફર પોતાના જીવનના માર્ગો શોધતો ભટકી રહ્યો હતો. અજીત તર્કનો માણસ હતો, વિજ્ઞાનનો ઉપાસક હતો. તેના માટે દુનિયા એટલે માત્ર જે આંખે દેખાય અને જેને માપી શકાય તે જ સત્ય હતું. પણ આ રણની તરસ તેને કશુંક એવું શોધવા મજબૂર કરી રહી હતી જે તેના ગણિતમાં ક્યાંય બેસતું નહોતું.

    ત્યાં જ, તેની મુલાકાત અભિજિત સાથે થઈ. અભિજિત નાનકડા બાળક જેવો હતો, પણ તેની વાણીમાં યુગોનું જ્ઞાન અને આંખોમાં બ્રહ્માંડની ગહનતા હતાં. અભિજિત પાસે એક નાનકડું ઓટલા જેવું સ્થાન હતું, જ્યાં તેણે એક અત્યંત સુંદર અને નાજુક શ્વેત પુષ્પ રોપ્યું હતું. આ પુષ્પનું નામ તેણે રૂક્ષ્મણી રાખ્યું હતું. અજીતને આશ્ચર્ય થયું કે આટલા નિર્જન રણમાં એક છોડ પાછળ આટલી મહેનત કેમ?

    અભિજિતે હળવા સ્મિત સાથે કહ્યું, “અજીતભાઈ, દુનિયામાં હજારો ગુલાબ હશે, પણ આ રૂક્ષ્મણી મારા માટે અદ્વિતીય છે. મેં તેને મારા શ્વાસથી સીંચ્યું છે, મેં તેને મારા મૌનથી સાંભળ્યું છે. જ્યારે તમે કોઈને તમારો સમય આપો છો, ત્યારે તે વસ્તુ માત્ર પદાર્થ મટીને સંબંધ બની જાય છે. તપની શરૂઆત પણ અહીંથી જ થાય છ, જ્યારે સાધક અને સાધ્ય વચ્ચેનો ભેદ ભૂંસાઈ જાય.” અજીતને આ વાત ગળે ન ઉતરી. તેણે પૂછ્યું, “પણ આ તો માત્ર એક છોડ છે, તેનું આટલું જતન કેમ?”

    ત્યારે અભિજિતે તેને પ્રેમ અને સમર્પણની ગૂઢ વાતો સમજાવવા માટે ભૂતકાળનાં પૃષ્ઠો ખોલ્યાં. તેણે વાત માંડી મહાન ભક્ત નામદેવની. નામદેવ એટલે એવું વ્યક્તિત્વ જેમણે પથ્થરની મૂર્તિમાં પ્રાણ જોયા હતા. નામદેવ કલાકો સુધી વિઠ્ઠલ સામે બેસી રહેતા. એ સમયે વિદ્વાન અને શાસ્ત્રજ્ઞાની પુરંદર ત્યાંથી પસાર થયા. પુરંદર પાસે વેદ-પુરાણોનું અગાધ ભાથું હતું, પણ હૃદયમાં પ્રેમની સૂકી નદી હતી.

    પુરંદરે અટ્ટહાસ્ય કરતા કહ્યું, “અરે નામદેવ! તું આ જડ પથ્થર સામે કેમ રોદણાં રડે છે? જ્ઞાન મેળવ, આત્મા અને પરમાત્માના અદ્વૈતને સમજ. આ મૂર્તિ તને શું આપવાની?”

    નામદેવે શાંતિથી જવાબ આપ્યો, “પુરંદરભાઈ, જ્ઞાન એ દીવો છે જે રસ્તો બતાવે છે, પણ તપ એ ચરણ છે જે મંજિલ સુધી પહોંચાડે છે. તમે જેને પથ્થર કહો છો, એમાં મને મારા પ્રભુનું હૃદય ધબકતું સંભળાય છે. જ્યારે હું આ રૂક્ષ્મણી જેવી નાજુક ભક્તિને હૃદયમાં સ્થાપું છું, ત્યારે આખી સૃષ્ટિ વિઠ્ઠલમય બની જાય છે.”

    અભિજિતે આગળ બીજી વાત કરતાં કહ્યું, એકવાર નામદેવ વનમાં સાધના કરતા હતા. ત્યાં એક શ્વાન (કૂતરો) આવ્યો અને નામદેવના ભાણામાંથી રોટલો લઈને ભાગ્યો. જ્ઞાની પુરંદર પણ ત્યાં હાજર હતા. નામદેવ તો રોટલો છીનવવાને બદલે ઘીની વાટકી લઈને તે કૂતરા પાછળ દોડ્યા અને કાકલૂદી કરવા લાગ્યા, “હે પાંડુરંગ! ઊભા રહો, કોરો રોટલો ગળે વળગશે, જરા ઘી તો લગાવવા દો!”

    આ દૃશ્ય જોઈ પુરંદર સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજાયું કે જે સત્ય તેઓ પોથીઓમાં શોધતા હતા, તે નામદેવે સમર્પણની એક પળમાં મેળવી લીધું હતું. અભિજિતે અજીત સામે જોઈને કહ્યું, “અજીત, પ્રેમ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે તે ભક્તિ બને છે. ત્યાં ‘હું’ અને ‘તું’ મટી જાય છે.”

    તપ-ભક્તિ માત્ર બહિર્મુખ નથી હોતી. તે અંતર્મુખ પણ હોય છે. આ સમજાવવા માટે અભિજિતે નિરુપમાની વાત છેડી. નિરુપમા એક એવી તપસ્વીની હતી જે મૌન રહીને મંદિરના ખૂણામાં દીવા સાફ કરતી. તેની સેવાની કોઈને ખબર નહોતી. એક રાત્રે ભયંકર તોફાન આવ્યું. વાવાઝોડાએ મોટા વડલાઓને પણ ઊખેડી નાખ્યા. ગામના લોકો જીવ બચાવવા ભાગ્યા, પણ નિરુપમા મંદિરના ગર્ભગૃહના દ્વાર પકડીને બેસી રહી. તેની ચિંતા પોતાનો જીવ બચાવવાની નહોતી, પણ પેલા અખંડ દીવાને બુઝાવા ન દેવાની હતી.

    તેણે કહ્યું હતું, “જો આ દીવો બુઝાઈ જશે, તો સૃષ્ટિના અંધકારને દૂર કરવા કયો સૂર્ય આવશે? મારા માટે આ જ્યોત એ જ મારો પરમાત્મા છે.” નિરુપમાની આ મૌન આરાધના એ સાબિતી હતી કે ભક્તિ માટે શબ્દોની જરૂર નથી, માત્ર અડગ નિશ્ચય જોઈએ.

    અભિજિત અને અજીત રણમાં આગળ વધ્યા. રસ્તો લાંબો હતો, પણ વાતો એવી હતી જે સમયને થંભાવી દેતી હતી. રસ્તામાં તેમને અનિલ અને અભિષેક નામના બે મુસાફરો મળ્યા. તેઓ બંને દુન્યવી સફળતાની પાછળ દોડતા હતા. તેઓએ અભિજિતને પૂછ્યું, “અમે સુખ ક્યાંથી ખરીદી શકીએ?”

    અભિજિતે પોતાના વહાલા સફેદ પુષ્પ રૂક્ષ્મણીને મનોમન યાદ કરી, હસતાં હસતાં કહ્યું: “સુખ બજારમાં નથી મળતું, તે સંબંધોની માવજતમાં મળે છે. તમે જેની પાછળ તમારો અંશ ખર્ચો છો, તે જ તમને પૂર્ણતા આપે છે. ભક્તિમાં પણ એવું જ છે. તમે ભગવાનને શું અર્પણ કરો છો એ મહત્વનું નથી, પણ કયા ભાવથી અર્પણ કરો છો એ મુખ્ય છે.”

    વાતોનો આ મર્મ હવે વધુ ગહન બનતો ગયો. અભિજિતે સમજાવ્યું કે નાના રાજકુમારની જેમ તે પણ એક ગ્રહથી બીજા ગ્રહ એટલે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં મુસાફરી કરી રહ્યો છે. તેણે અજીતને કહ્યું, “જુઓ, આ રણ સુંદર છે કારણ કે તે ક્યાંક ને ક્યાંક મીઠા પાણીનો કૂવો છુપાવીને બેઠું છે. મનુષ્યનું શરીર પણ એક રણ છે, અને હૃદયમાં રહેલો પ્રેમ એ મીઠા પાણીનો કૂવો છે. પણ લોકો બહારના ઝાંઝવાના જળ પાછળ દોડે છે.”

    અજીતની આંખો હવે ભીની થવા લાગી હતી. તેને સમજાયું કે તે જે જ્ઞાન અને તર્કના અહંકારમાં રાચતો હતો, તે કેટલું ખોખલું હતું. તેણે પૂછ્યું, “તો શું મારે પણ આ રૂક્ષ્મણી જેવા પુષ્પની શોધ કરવી જોઈએ?”

    અભિજિતે કહ્યું, “પુષ્પ શોધવાનું નથી હોતું, તેને ખીલવવાનું હોય છે. તમારા ભીતર જે કરુણા છે, જે નિઃસ્વાર્થ સેવા છે, તે જ તમારું પુષ્પ છે. જ્યારે તમે કોઈ અજાણ્યા માટે આંસુ પાડો છો, જ્યારે તમે કોઈ ભૂખ્યાને પોતાનો રોટલો આપો છો, ત્યારે તમે નામદેવ બનો છો. જ્યારે તમે જગતના ઘોંઘાટમાં પણ ઈશ્વરનો સાદ સાંભળો છો, ત્યારે તમે નિરુપમા બનો છો.”

    સમય સરકતો રહ્યો. આકાશમાં તારા ખીલી ઊઠ્યા હતા. અભિજિતે પોતાની વિદાયનો સંકેત આપ્યો. તે પોતાની દુનિયામાં પાછો ફરવાનો હતો, જ્યાં તેનું રૂક્ષ્મણી પુષ્પ તેની રાહ જોઈ રહ્યું હતું. અજીત ગભરાઈ ગયો. તેને લાગ્યું કે તે ફરી એકલો પડી જશે.

    અભિજિતે તેને ગળે લગાવતા છેલ્લો મંત્ર આપ્યો, “યાદ રાખજે અજીત, સૌથી કિંમતી વસ્તુઓ આંખોથી દેખાતી નથી. તે હૃદયના સ્પર્શથી અનુભવાય છે. જ્યારે તું રાત્રે એકચિત્તે તપની મુદ્રામાં ધ્યાન ધરી આકાશ સામે જોઈશ, ત્યારે તને બધા તારામાં મારું સ્મિત દેખાશે. અને જ્યારે તું તારા હૃદયના ઊંડાણમાં ઊતરીશ, ત્યારે તને ત્યાં તારો પોતાનો ‘વિઠ્ઠલ’ મળશે. ભક્તિ એટલે વિયોગમાં પણ મિલનનો અનુભવ.”

    અભિજિત ધીમે ધીમે તેજપુંજમાં વિલીન થઈ ગયો. રણમાં હવે અજીત એકલો હતો, પણ તેનું એકલવાયાપણું હવે શૂન્યતા નહીં, પણ એક દિવ્ય ભક્તિથી ભરેલું હતું. તેણે જોયું કે રણની રેતીમાં પણ હવે નાના નાના અંકુર ફૂટી રહ્યાં હતાં. તેને સમજાઈ ગયું હતું કે સમર્પણ એ દુનિયાનો સૌથી મોટો ચમત્કાર છે.

    દરેક મનુષ્ય એક રાજકુમાર છે, જે પોતાની રૂક્ષ્મણી એટલે કે પોતાનાં આંતરિક શાંતિ અને પ્રેમની શોધમાં ભટકે છે અને જે દિવસે તે અહંકાર છોડીને ભક્તિના માર્ગે ડગ માંડે છે, તે દિવસે આખું બ્રહ્માંડ તેની સાથે સંવાદ કરવા લાગે છે. નામદેવ, નિરુપમા અને પુરંદરના પાત્રો દ્વારા અજીતને જે સત્ય સમજાયું તે એ હતું કે, જીવન એ માત્ર જીવવાની પ્રક્રિયા નથી, પણ પરમાત્માના ચરણોમાં એક સુગંધિત પુષ્પ બનીને અર્પણ થઈ જવાની કળા છે.

    રણની એ રાત શાંત હતી, પણ અજીતના હૃદયમાં ભક્તિના અનેક સૂર ગુંજી રહ્યા હતા. તેણે રણની રેતીમાં નતમસ્તક થઈને પ્રણામ કર્યા, કારણ કે હવે તેને રેતીના દરેક કણમાં તેના આરાધ્ય દેખાઈ રહ્યા હતા.

  • લહેરાતો જા | હું

    લહેરાતો જા

                  -રક્ષા શુક્લ

     

    ઊંચે ઊંચે ઉર્ધ્વ ગગનમાં લહેર લહેર લહેરાતો જા.
    તું યશગાથા, તું મુક્તિ અને તું ત્રિરંગ તાલે ગાતો જા.

     

    તું કેસરવર્ણી કાયાથી હુંકાર કરે કે રણબંકાઓ દિવસ-રાત અહીં જાગે છે,
    જ્યાં સારનાથનો સાવજ ગર્જી કરે ત્રાડ તો દિશા થરથરે, દુશ્મન દોડી ભાગે છે.

    તું બલિદાન, તું શૌર્ય અને તું ત્યાગ મહીં મદમાતો જા.
    ઊંચે ઊંચે ઉર્ધ્વ ગગનમાં લહેર લહેર લહેરાતો જા.

     

    તું શુભ્ર, શ્વેત ઉજ્જ્વળતા ઓઢી, સતની કેડી કંડારીને સૂર્ય સમું અજવાળે છે,
    ગાંધીની ખાદી અંગ લપેટી, સહજ સાદગી, પુનિત પ્રેમથી દ્વેષ-કટુતા ચાળે છે.

    તું શુદ્ધ સમર્પણ, શાંત સરવરે મલયાનિલમાં ન્હાતો જા.
    ઊંચે ઊંચે ઉર્ધ્વ ગગનમાં લહેર લહેર લહેરાતો જા.

     

    તું છમ્મલીલું જો કરે સ્મિત ત્યાં મ્હેક મ્હેક માટી થઈ માતૃભૂમિને પણ શણગારે છે,
    સૌ ધર્મચક્ર લઈ નવી દિશાએ નવા ગુંથીશું ગાન પછી ખુશહાલી દ્વારે દ્વારે છે.

    તું હરિયાળી, ગતિશીલ કર્મ, ગૌરવ ઉન્નત, હરખાતો જા.
    ઊંચે ઊંચે ઉર્ધ્વ ગગનમાં લહેર લહેર લહેરાતો જા.

     

     

     હું

    – –રક્ષા શુક્લ

     

    અશ્વ હું, અસવાર હું.
    સારથી ને સાર હું.

    પાંચ. તોયે પાંગળી,
    હાર હું, વ્યાપાર હું.

    દ્વારિકા મનની મળે,
    હું સુબો, સરકાર હું.

    કેદ પથ્થરની ચણો,
    બે મિનીટમાં બ્હાર હું.

    મૌન માથું ઊચકે,
    ત્યાં બનું હુંકાર હું.

    જ્યાં ઢળી, ઢળતી રહી,
    ક્યાં હતી આકાર હું !

    મા બની હું થનગનું,
    છું નવે અવતાર હું.

  • વાદ્યવિશેષ : (૪૫) – તાલવાદ્યો (૧૦) – ઘટમ/મટકા

    ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    પરંપરાગત તાલવાદ્યો કરતાં ખાસ્સી અલગ રચના ધરાવતું આ વાદ્ય ખાસ કરીને દક્ષિણ ભારત અને તેમાં પણ કર્ણાટક વિસ્તારમાં ખુબ જ પ્રચલિત છે. આ બાજુના સંગીતકારો તેનો ઉપયોગ શાસ્ત્રીય ગાયન-વાદન સાથે સંગત કરવામાં તો કરે જ છે, તે ઉપરાંત ઘટમનું એકલ તાલવાદન પણ ખુબ જ લોકપ્રિય છે. દેશના અન્ય વિસ્તારોમાં પણ ઘટમનો ઓછોવત્તો ઉપયોગ થતો રહે છે પણ, તે એક લોકતાલવાદ્ય તરીકે જાણીતું છે. ઉપર તસવીરમાં જોઈ શકાય છે તેમ પીવા માટેનું પાણી ભરવા માટે વપરાતા માટીના ગોળા/ઘડા/મટકાનો જ ઉપયોગ એક તાલવાદ્ય તરીકે કરવામાં આવે છે. આથી તેને ઘટમ અથવા મટકા તરીકે ઓળખવામાં આવે છે. એક સમયે ગુજરાત અને રાજસ્થાનના કિર્તનકારો માટીની જગ્યાએ તાંબા (ક્યારેક પીત્તળ) જેવી ધાતુના ઉપયોગથી બનેલી આવા જ પ્રકારની માણ તરીકે જાણીતી રચનાનો સાથ લેતા હતા. હવે આવા કલાકારો જૂજ પ્રમાણમાં જોવા મળે છે.

    ઘટમની રચના અન્ય તાલવાદ્યો કરતાં એ રીતે અલગ પડે છે કે માટી વડે બનતી આ રચનાના ખુલ્લા ભાગ પર કોઈ આવરણ હોતું નથી. જરૂર પ્રમાણે તેને ખુલ્લો રાખીને અથવા થોડોઘણો ઢાંકી દઈને અપેક્ષિત નાદ નિષ્પન્ન કરી શકાય છે. એક આ વાદ્યનો અપવાદ બાદ કરતાં અન્ય બધાંજ તાલવાદ્યોમાં એક અથવા બે છેડા ચામડાથી અથવા પ્લાસ્ટીક જેવી રચનાથી બંધ કરાયેલા હોય છે. આમ, મટકાનો અવાજ એકદમ અનોખો હોય છે. તેને વગાડવાની પદ્ધતિ અને તેના નાદના અવાજ બાબતે કંજુમ નામના એક દક્ષિણ ભારતીય કલાકારના ઘટમવાદનની ક્લિપ થકી ખ્યાલ આવશે. મટકા કે ઘટમથી નિષ્પન્ન થતો નાદ સહેલાઈથી પારખી શકાય છે, કેમ કે એમાં અનુનાદિય સ્વર (Resonance) સાવ ઓછો હોય છે. મોટા ભાગે તેમાં ઊંડાણ (કે આવર્તન) હોતું નથી. ઊંડાણ માતે તેના મોંના ખુલ્લા ભાગ પરથી અસર પેદા કરવામાં આવે છે.

    હવે આગળ વધીએ ઘટમના તાલ ધરાવતાં કેટલાંક હિન્દી ફિલ્મોનાં ગીતો તરફ. હિન્દી ફિલ્મી ગીતોમાં આ તાલવાદ્યનો ઉપયોગ અનેક સંગીતકારોએ કરેલો છે. તે એટલો સાહજિક બની રહ્યો છે કે મોટા ભાગના કિસ્સામાં એ તરફ ધ્યાન પણ ન જાય. ખાસ કરીને સંગીતકાર બેલડી હૂશ્નલાલ-ભગતરામનાં ઘણાં ગીતોમાં તેનો ઉપયોગ સાંભળી શકાય છે.

    ૧૯૪૯ના વર્ષમાં રજૂ થયેલી ફિલ્મ લાહોરના ગીત ‘બહારેં ફીર ભી આયેગી’ના વાદ્યવૃંદમાં તાલવાદ્ય તરીકે ઘટમનો ઉપયોગ થાયો છે. આ ફિલ્મ માટે શ્યામસુંદર નામના સંગીતકારે ગીતો તૈયાર કર્યાં હતાં.

    ફિલ્મ બડી બહન (૧૯૪૯)માં હૂશ્નલાલ-ભગતરામનું સંગીત હતું. તેના ગીત ‘વો પાસ રહે યા દૂર રહે’ સાથે ગીતની શરૂઆતથી જ ઘટમના નાદ કાને પડતા રહે છે.

    ૧૯૪૯ની સાલમાં જ પરદા પર આવેલી ફિલ્મ ‘અંદાઝ’નાં સંગીતકાર નૌશાદના નિર્દેશનમાં બનેલાં ગીતો આજે સાડાસાત દાયકા પછી પણ ખુબ જ લોકપ્રિય બની રહ્યાં છે. તે પૈકીના ગીત ‘તૂ કહે અગર જીવનભર’માં ઘટમના તાલ સ્પષ્ટપણે સાંભળી શકાય છે. નોંધનીય છે કે પિયાનો જેવા પાશ્ચાત્ય વાદ્ય સાથે ઘટમનો સમાવેશ થયો છે.

    હવે માણીએ એક વધુ ઘટમપ્રધાન ગીત. ફિલ્મ આશીયાના (૧૯૫૨)ના મદનમોહનના સ્વરનિર્દેશનમાં બનેલા ગીત ‘મૈં પાગલ મેરા મનવા પાગલ’ સાથે ઘટમના તાલની સંગત છે.

    https://youtu.be/wZBoaazU7w4?si=evtxOxI6iXmEeim7

    ૧૯૫૨ના વર્ષમાં જ રજૂ થયેલી ફિલ્મ બૈજુ બાવરા માટે નૌશાદે સ્વરબદ્ધ કરેલાં ગીતોએ ફિલ્મની સફળતામાં સિંહફાળો આપ્યો હતો. તેમાંનું એક ગીત ’દૂર કોઈ ગાયે ધૂન યે સૂનાયે’ સાંભળીએ, સંગત કરતાં તાલવાદ્યોમાં ઘટમનો પણ સમાવેશ થયો છે. ગીતની શરૂઆતમાં જ યુવતીઓ ઘડો લઈને નૃત્ય કરી રહેલી જોઈ શકાય છે અને સાથેસાથે ઘટમ પર વાગી રહેલા તાલનાદ પણ સંભળાય છે.

    ફિલ્મ આહ (૧૯૫૩)નું ગીત ‘યે શામ કી તનહાઈયાં’ માણતાં જ ખ્યાલ આવે છે કે તેની સાથે તાલવાદ્ય તરીકે ઘટમનો ઉપયોગ થયો છે. સંગીત શંકર-જયકિશનનું છે.

    ૧૯૫૩ના વર્ષની ફિલ્મ નગ્મા માટે નાશાદ નામના પ્રમાણમાં અલ્પજ્ઞાત સંગીતકારે ગીતો બનાવ્યાં હતાં. નોંધનીય છે કે કેટલાક સિનેરસિકો તેમને સુખ્યાત સંગીતકાર નૌશાદ માની બેસે છે. હકીકતે આ સ્વરકારનું મૂળ નામ શૌકત અલી હતું, પણ ફિલ્મી આલમમાં તેમણે નાશાદ નામથી કેટલીક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. ઉક્ત ફિલ્મના ગીત ‘ઓ તીર ચલાનેવાલે જરા’ સાથે ઘટમના નાદ પ્રયોજાયા છે.

    ફિલ્મ બાગી (૧૯૫૩)ના ગીત ‘હમારે બાદ અબ મહેફીલ મેં અફસાને બયાં હોંગે’ સાથે ઘટમના તાલનો પ્રભાવક પ્રયોગ થયો છે. આ ફિલ્મના સંગીતકાર હતા મદનમોહન.

    ફિલ્મ શર્ત (૧૯૫૪) માટે હેમંતકુમારના નિર્દેશનમાં તૈયાર થયેલું ગીત ‘મેરી તકદીર કે માલિક’ ઘટમના તાલ વડે સજાવાયું છે.

    સંગીતકાર નાશાદ(નૌશાદ નહીં!)નું સ્વરબદ્ધ કરેલું વધુ એક ગીત સાંભળીએ. ફિલ્મ બારાદરી(૧૯૫૫)નું ગીત ‘તસવીર બનાતા હૂં’  ઘટમાના નાદ વડે સભર તાલ ધરાવે છે.

    ૧૯૫૭માં રજૂ થયેલી ફિલ્મ અબ દિલ્લી દૂર નહીંનું ગીત ‘ભેજ છનાછન ખુબ રુપૈયા’ કાને પડતાં જ તેના સંગાથમાં ઘટમના નાદ પારખી શકાય છે. પરદા પર ગાયક સાથે સાથે ઘટમ વગાડતા જોઈ શકાય છે. ઉપાર જણાવ્યું છે તેમ અહીં ઘટમનો ખુલ્લો ભાગ તેને ઉંધું પાડીને શક્ય એટલો ઢાંકી દેવાયો છે, પરિણામે વિશિષ્ટ નાદ ઉત્પન્ન થયેલો સાંભળી શકાય છે.

    ફિલ્મ માલિક (૧૯૫૮)ના ગીત ‘મન ધીરે ધીરે ગાય રે’ માં ઘટમના તાલનું પ્રાધાન્ય માણી શકાય છે. આ ફિલ્મમાં ગુલામ મહમ્મદનું સંગીત હતું.

    ૧૯૫૮ના વર્ષમાં જ રજૂ થયેલી ફિલ્મ મધુમતીની સાફળતામાં સલિલ ચૌધરીએ સર્જેલાં તેનાં એક કરતાં એક ચડીયાતાં ગીતોએ મોટો ભાગ ભજવ્યો હતો. એ પૈકીના ગીત ‘તૂટે હૂએ ખ્વાબોં ને’ ના વાદ્યવૃંદમાં ઘટમના તાલ સંભળાય છે.

    https://youtu.be/TEQitO44FJU?si=WDaQP1bFFMaDVKfR

    હવે એક વિશિષ્ટ ક્લિપ માણીએ, લાક્ષણિક રાજસ્થાની ગ્રામ્ય વિસ્તારની પનિહારીઓ અલગઅલગ પ્રકારના ઘડા સાથે પાણી ભરવા નીકળી હોય એવા દૃશ્યમાં ફિલ્મ દો બૂંદ પાની(૧૯૭૧)નું ગીત ‘પીત્તલ કી મોરી ગાગરી’ ચિત્રાંકિત થયું છે. ગીતની દૃશ્યાવલીને અનુરૂપ ઘટમાના તાલ પ્રયોજાયા છે. આ ફિલ્મમાં જયદેવનું સંગીત હતું.

    ફિલ્મ જવાની દિવાની(૧૯૭૨) માટે રાહુલદેવ બર્મને પ્રયોગશીલ સંગીત તૈયાર કર્યું હતું. તેના ગીત ‘સામને યે કૌન આયા’ના વાદ્યવૃંદમાં મોટા ભાગે બોંગો અને કોંગો જેવાં પાશ્ચાત્ય તાલવાદ્યોનો ઉપયોગ થયો છે, પણ સમયસમયે ઘટમના નાદ પણ કાને પડતા રહે છે.  આ ગીતમાં બહુ વિશિષ્ટ રીતે મટકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે મટકાની દિવાલ પર આંગળીઓ વડે વાદન કરી, તાલ નિપજાવવામાં આવે છે. તેને બદલે અહીં તેના ખુલ્લા ભાગનો ઉપયોગ કરી, ઊંડાણવાળો અને ઘેરો તાલ પ્રયોજાયો છે. પહેલાં મૂળ ગીતમાં એ સાંભળીએ.

    હવે એક લાઈવ શોની ક્લિપ માણવાથી મૂળ મટકામાં શા ફેરફાર કરાયા અને તેનું પરિણામ કેવું આવ્યું તે સમજી શકાશે.

    આ કડીની આખરમાં ૧૯૮૩ની ફિલ્મ હીંમતવાલાનું એક નૃત્યગીત માણીએ. બપ્પી લાહીરીના સંગીતનિર્દેશનમાં બનેલા આ ગીત સાથે તાલવાદ્ય તરીકે ઘટમનો ધ્યાનાકર્ષક ઉપયોગ થયો છે. નૃત્યના ફિલ્માંકન પર નજર નાખતાં ખ્યાલ આવે છે કે મંચસજાવટમાં ઉતરડ (ઘડાઓની લંબ દિશાએ ગોઠવણી)  કરવામાં આવી છે અને તેને ધ્યાને લઈને સંગીતકારે તાલવાદ્ય તરીકે ઘટમનો ઉપયોગ કર્યો છે.

    https://www.youtube.com/watch?v=-ix62x0XfHk&list=RD-ix62x0XfHk&start_radio=1

    આજે અહીં અટકીએ, આવતી કડીમાં અન્ય તાલવાદ્ય સાથે મળીશું.


    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • મેરી તરહ તૂ આહેં ભરે

    ધિક્કારનાં ગીતો

    હું દુઃખી થયો તેમ તું પણ દુઃખી થા એવી ઇચ્છા થવી સ્વાભાવિક તો છે, પણ…

    દીપક સોલિયા

    છંછેડાયેલો પ્રેમી જો પ્રેમિકાની હત્યા કરે કે ચહેરા પર એસિડ ફેંકે તો એ મહાનરાધમ આકરી સજાને જ લાયક છે, પરંતુ આટલી હદે ન જવા છતાં કોઈ પ્રેમી જો પ્રેમિકાને જાહેરમાં બદનામ કરે, સોશિયલ મીડિયામાં પ્રેમિકાની છાપ ખરડવા માટે ઉધામા મચાવે તો એ પણ નરાધમતાનો જ એક પ્રકાર ગણાય અને એ અપરાધ બદલ પણ એને સજા જ થવી જોઈએ.

    આવા અપરાધને ગ્લોરિફાઈ ન જ કરવો જોઈએ. છતાં, હિન્દી ફિલ્મોમાં એવાં અનેક ગીતો છે જે બિનધાસ્ત આવા અપરાધને એટલે કે પ્રેમિકાની આબરુના ધજાગરા ઉડાડવાની ચેષ્ટાને જાણે પ્રોત્સાહન આપતાં હોય. આવું પેલું એક ગીત તમે સાંભળ્યું હશેઃ

    મેરે મહબૂબ કયામત હોગી
    આજ રુસવા તેરી ગલિયોં મેં મહોબ્બત હોગી

    આ ગીત ફિલ્મ મિ. એક્સ ઇન બૉમ્બે નામની ફિલ્મનું છે. ફિલ્મમાં હીરો પણ કિશોર કુમાર છે અને આ ગીતને સ્વર પણ નેચરલી કિશોરે જ આપ્યો છે. શબ્દો પર ઝાઝું ધ્યાન આપ્યા વિના સાંભળો તો ગીત બહુ મજાનું લાગે એવું છે. લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત પ્યારું છે. આ ફિલ્મ તો બહુ નહોતી ચાલેલી, પણ તેનું આ ગીત એટલું બધું ચાલ્યું કે ફિલ્મ રીલિઝ થયાના ૫૮ વર્ષ પછી આજે પણ કિશોરના ઓલટાઈમ ગ્રેટ ગીતોની વાત નીકળે ત્યારે ઘણાં લોકોને આ ગીત યાદ આવી શકે.

    ગીતમાં પ્રેમિકાને સંબોધીને એવું કહેવાયું છે કે આજે તારી ગલીમાં પ્રેમ બદનામ થશે, પણ ફિલ્મમાં હીરો આ ગીત પ્રેમિકાની ગલીમાં નથી ગાતો. એ તો ગલીથી પણ વધુ જાહેર, સરેઆમ, છેડેચોક એવું એક સ્થળ પસંદ કરે છે. એ સ્થળ આખા ભારતના ટોચના પર્યટન સ્થળમાંનું એક છે. એ છે, મુંબઈનું ગેટવે ઓફ ઇન્ડિયા. ગેટવે પાસે મોટો ચોક છે. સામે તાજ હોટેલ છે. આવા અતિ જાહેર સ્થળે કિશોર કુમાર લલકારે છેઃ

    તેરી ગલી મેં આતા સનમ
    નગમા વફા કા ગાતા સનમ
    તુઝસે સુના ના જાતા સનમ
    ફિર આજ ઇધર આયા હૂં મગર
    યે કહને મૈં દીવાના
    ખત્મ બસ આજ યે વહશત હોગી

    વાત જરા ગંભીર છે. પ્રેમી અસલમાં આપઘાતની ધમકી ઉચ્ચારી રહ્યો છે. એ કહે છે કે આમ તો તારી ગલીમાં આવીને હું આવી રીતે ગાઉં તો તું એ સાંભળી શકે તેમ નથી, પણ આજે હું અહીં એ કહેવા આવ્યો છું કે મારી વહશત (જંગલીપણું, ગાંડપણ) ખતમ થવાનું છે એટલે કે હું મરી જવાનો છું.

    ગીતના અન્ય એક અંતરામાં પણ આપઘાતનો સ્પષ્ટ ઇશારો છેઃ

    મેરે સનમ કે દર સે અગર
    બાદ-એ-સબા હો તેરા ગુઝર
    કહના સિતમગર કુછ હૈ ખબર
    તેરા નામ લિયા, જબ તક ભી જિયા
    એ શમા તેરા પરવાના
    જિસસે અબ તક તુઝે નફરત હોગી

    કાલીદાસના નાયકે મેઘને દૂત બનાવેલો એમ અહીં ગીતકાર આનંદ બક્ષીએ સવારની હવા (બાદ-એ-સબા)ને દૂત બનાવીને પ્રેમિકાને મેસેજ મોકલવાની વાત કરી છે. મેસેજ એવો છે કે હે જુલમી પ્રેમિકા, શું તને ખબર છે કે તું જેને નફરત કરી રહી છે એવો તારો દીવાનો-પરવાનો જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી તારું જ નામ લેતો રહેલો.

    જ્યાં સુધી પણ જીવ્યો (જબ તક ભી જિયા)નો મતલબ એવો થાય કે હવે એ જીવિત નથી. એ મરી ચૂક્યો છે. ફિલ્મની કથામાં તો એવું પણ છે કે હીરો માત્ર ગાઈને જ નહીં, નક્કર ચિઠ્ઠી લખીને પણ હિરોઈનને જણાવે છે કે હું આપઘાત કરી રહ્યો છું.

    આ વળી પાછો એક જુદો અને ઘણો મોટો જુલમ છે કે પ્રેમિકા સાથે મિલન ન થાય એટલે મરી જવાનું, કે પછી મરી જવાની ધમકીઓ આપીને પેલી પર ત્રાસ ગુજારવાનો.

    ખેર, મોતની ધમકીઓ હીરો અમલમાં મુકે છે કે નહીં એ તો મન થાય તો ફિલ્મ જોઈને કે એ વિશે નેટ પર વાંચીને જાતે જાણી લેજો. ફિલ્મની વાર્તા આપણો મુદ્દો નથી. આપણો મુદ્દો છે આ ગીત. ગીતનો આ અંતરો જુઓઃ

    મેરી તરહ તૂ આહેં ભરે
    તૂ ભી કિસી સે પ્યાર કરે
    ઔર રહે વો તુઝસે પરે
    તૂને ઓ સનમ ઢાયે હૈં સિતમ
    તો યે તૂ ભૂલ ના જાના
    કે ના તુઝપે ભી ઇનાયત હોગી

    અર્થાત્, હું ઇચ્છું છું કે મારા પછી તું બીજા કોઈના પ્રેમમાં પડે. પછી પેલો તને તરછોડે, તારાથી દૂર રહે. મારા પર સિતમ ગુજારનાર હે નારી, તું યાદ રાખજે કે ના તુઝપે ભી ઇનાયત હોગી. તારા પર પણ કોઈ રહેમ-કૃપા-ઇનાયત નહીં થાય. તારું પણ આવી બનશે. તારી પણ વાટ લાગશે.

    ઘણા લોકો કોઈ દેવ ફળે ત્યારે એવું કહેતાં હોય છે કે દેવ જેવા મને ફળ્યા એવા તમને પણ ફળો. આ ગીતમાં તેનાથી ઊંધું છે. પ્રેમના દેવતા જેમ મને નડ્યા તેમ તને પણ નડો. નિર્ભેળ બદદુઆનો આ મામલો છે. અને છતાં તમે આ ગીતનું ફિલ્માંકન જુઓ તો લાગે કે આ બધી બદદુઆ દેતી વખતે હીરો જાણે થોડો ખુશ છે. એના ચહેરા પર જાણે એક સ્મિત રમી રહ્યું છે. પોતાની હૈયાવરાળ વ્યક્ત કરવાથી એને જાણે સારું લાગી રહ્યું છે.

    https://youtu.be/MCRfiK53mpE?si=2–5WJj1d8byqU5B

    માત્ર હીરોને જ નહીં, શ્રોતાઓને પણ આ ગીત સાંભળીને એક સુખદ પ્રકારની લાગણી થતી હોય છે. આવું શાને થાય છે? આ ગીતમાં એક જબરી અપીલ શા માટે છે? ગીતની પ્રચંડ લોકપ્રિયતાનું રહસ્ય શું છે?

    એ રહસ્ય છે આત્મદયા, સેલ્ફ પિટી…


    (ક્રમશઃ)


    શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com

  • આર્યનનો રોબોટ

    લતા હિરાણી  

    આર્યન બેઠો હતો સ્ટૂલ પર ને કૂદીને પડ્યો એની મમ્મીના ખોળામાં….

    ના, ના, ધરતીકંપ કે એવું કશું નહીં ભાઈ, આ તો વાત એમ હતી કે આર્યનના દાદાજી અમેરિકા જઈને આવ્યા હતા. એમણે ઘરમાં આવતાંવેંત બેગ લાવવા કહ્યું પણ પપ્પા કહે, ‘ના તમે બહુ થાક્યા છો એટલે હમણાં સૂઈ જાવ. પછી બધું બતાવજો.’

    દાદાજી ખરેખર બહુ થાક્યા હતા એટલે લાંબી ઊંઘ થઈ ગઈ. આર્યને એટલી વાર મહા મુશ્કેલીથી ધીરજ રાખી. વારેવારે એમના રૂમ પાસે જઈને તપાસી લેતો, દાદાજી જાગ્યા કે નહીં !

    દાદાજી જાગ્યા, નાહ્યા, ફ્રેશ થયા, બધાંએ સાથે નાસ્તો કર્યો. જો કે આર્યનભાઈને નાસ્તો કરવામાં જરાય રસ નહોતો… નાસ્તો કરવા બેસવાની વાત આવી ત્યારે આર્યનનું નાકનું ટીચકું જરા ઊંચું થયું, આંખો ઝીણી ને કપાળ પર કરચલીઓ…… “અરે ય્યા..ર…”

    મૂળે ભાઈને ઇંતેજારી એ હતી કે દાદાજી મારા માટે શું લાવ્યા છે? બસ, પછી બધાને જે કરવું હોય એ કરે ! દાદાજી અમસ્તાયે ક્યાંક જતા તો આર્યન માટે કંઈક લાવતા જ ને આ તો અમેરિકા!

    દાદાજીની મોટીમસ બેગ ખુલી. આર્યન સ્ટૂલ પરથી ઊભો થઈ ગયો.

    “આર્યન…. બેસી જા બેટા”. પપ્પાએ એને ખોળામાં લેવા ટ્રાય કરી॰

    “વાંધો નહીં, એને આવવા દે” દાદાજી હંમેશા બાળકોના પક્ષમાં રહેતા અને બાળકો હંમેશા એમનું કહ્યું માનતા પણ પપ્પાને મસ્તી સૂઝી. એમણે ફરી આર્યનને ખેંચ્યો.

    ”આર્યન આવી જા બચ્ચા !”

    અને આર્યન મમ્મીના ખોળામાં ઘુસી ગયો.

    બેગમાં દાદાજીનો હાથ ગયો. બધાંને ખબર હતી કે પહેલી ચીજ આર્યનની નીકળશે. બેગમાંથી નીકળ્યું એક મોટું ખોખું ! ‘અરે, આવડું મોટું રમકડું !’ આર્યનનો ચહેરો હસું હસું થઈ રહ્યો. ખોળામાં એ ઉભડક તો થઈ જ ગયો પણ હવે દાદાજીએ સસ્પેન્સ ક્રીએટ કર્યું.

    “બોલ, શું હશે આમાં?
    “તમે જ કહો ને દાદાજી”
    “જરા કલ્પના તો કર બેટા…’
    “અ…… નથી ખબર પડતી દાદાજી … પ્લીઝ કહી દો ને!”

    “તને કલ્પના જ ન આવે એવું છે, બોલ!”

    “દાદાજી પ્લી….ઝ…..” કહેતાં આર્યન હવે ઊભો થઈ જ ગયો.

    દાદાજીને થયું હવે આપી જ દઉં.. મારા નાનકડા બચ્ચાએ બહુ રાહ જોઈ! એમણે પેકેટ ખોલ્યું.

    આહા! અંદર શું હતું ? હવે આર્યનને ખબર પડી ગઈ.. એ જોરથી બૂમ પાડી ઊઠ્યો,

    ”રોબોટ…”

    હરખમાં એનાથી મોટો જમ્પ પણ લગાવાી ગયો ને…..

    આર્યનનો રોબોટ જોઈ બધાં ખુશ થઈ ગયા.

    દેખાવમાં રોબોટ માણસ કમ રમકડા જેવો લાગતો હતો. આખું પીળા કલરનું બોડી હતું.

    “મમ્મી, આ એના કાન કેવા ફની છે નહીં?”

    “લાંબા તો ખરા પણ બેય કાન જાણે પેલા રિક્ષાવાળાના ‘ભોંપુ’ હોર્ન હોય એવા છે!”

    “બાળકોને મજા આવે એવા જ રમકડાં હોય ને બેટા!”

    “તે હેં દાદાજી, આ કાનથી રોબોટ સાંભળે ખરો?”

    ”ચોક્કસ સાંભળે, પણ તારું ગુજરાતી નહીં, એને શીખવ્યું હોય એવું અંગ્રેજી તું બોલ તો સાંભળે અને એ બોલેય એવું જ!!” કહેતાં દાદાજીએ રોબોટની પાછળનું એક બટન દબાવ્યું.

    “હાય ફ્રેન્ડ, હેવ અ ગુડ ડે….વ્હોટ કેન આઇ ડુ ફોર યુ?”

    “લે આ તારો રોબોટ તો ચાલુ થઈ ગયો…”

    આર્યન એ બટન શોધવા લાગ્યો.

    “હવે તારે નિરાંત હો આર્યન, આ બચ્ચું તારું બધું કામ કરી દેશે.” માએ કહ્યું

    “પણ એને સમજાય એવું અમેરિકન ઉચ્ચારોવાળું ઇંગ્લીશ કોને આવડે છે ” મા હવે પલાંઠી વાળીને બેસી જ ગયા હતા. એનેય મજા પડી ગઈ હતી.

    “એમ કર મા, તું એવું ઇંગ્લીશ શીખી જા. પછી તારું કામેય કરી દેશે. આમેય તારે બહુ કામ હોય છે ને? તારો આ એક આસિસ્ટંટ!” પપ્પાએ ટમકું મૂક્યું

    “તો મારું શું?” મમ્મી બોલી
    “દાદાજી રોબોટ મારા માટે લાવ્યા છે કે તમારા બધા માટે?”

    “ના બેટા, આ તારા માટે જ છે. મારે વળી રોબોટનું કંઈ કામ નથી. નિસર્ગ, તું આર્યનને ચીડવ મા.” માને આર્યનની ખુશી જરાય ઓછી થવા દેવી નહોતી.

    દાદાજીએ સમજાવવાનું ચાલુ કર્યું, “રોબોટનું શરીર માણસ જેવું અને એની અંદર નાનું કમ્પ્યુટર ફીટ કરેલું હોય જે બધી સુચનાઓનો અમલ કરે. આ રોબોટના થોડાક ફંકશન છે ખરા. જો, એ તાળી પાડશે, હસશે, હાથ લાંબો કરીને શેકહેન્ડ કરશે ને જરા ડાન્સ પણ કરશે.”

    ”સાચે જ દાદાજી, “આ બધું બતાવો ને !!” આર્યનની ધીરજ નહોતી રહેતી.

    દાદાજીએ એક પછી એક ફંકશન બતાવ્યા.

    “આ રોબોટ તો રમકડું છે. બાકી ઘરના ઘણાં કામો કરે એવા મોટા રોબોટ પણ આવે.”

    “એ શું શું કરે દાદાજી?”

    “ઘરની સફાઈ કરે, લૉન કાપે, ફર્શ ધોઈ નાખે, અરે છાપું વાંચીનેય સંભળાવે! એ તારી મમ્મીને મદદ કરે! પરદેશમાં ઇંડસ્ટ્રીઝમાં રોબોટ ખાસ વપરાય.  જે કામ બહુ ઝીણવટ માગી લે કે એકધારા કરવાના હોય કે જેમાં રિસ્ક બહુ હોય એવાં કામોમાં રોબોટ મુકાય.”

    “સારું જ પડે ને દાદાજી, રોબોટ ન પગાર માગે, ન થાકે, ન કંટાળે કે ન રજા પાડે! પછી ધીમે ધીમે એ માણસોને નવરા કરી દેશે!” આર્યને રોબોટ વિશે વાંચ્યુ હતું.

    “તારી વાત સાચી છે પણ એ પણ દિવસો હજી દૂર છે.”

    “હવે મને રમવા દો” કહીને આર્યને બધી કળ જાણી લીધી અને જાતે એક પછી એક ફંકશન કરાવતો ગયો..

    આર્યન રોબોટને પોતાના રૂમમાં લઈ ગયો. હવે આજે એને રોબોટ સિવાય કશું સુઝતું નહોતું. એનો આજે ‘રોબોટ ડે’ થઈ ગયો.

    સાંજે પાર્થકાકા અને વિશાખાકાકી આર્યનનો રોબોટ જોવા આવ્યા.

    “હવે મારેય અમેરિકાથી એક રોબોટ મંગાવવો છે. એણે આટલું કામ કરવાનું કે સવારમાં મને પથારીમાંથી ઉંચકી ખુરશીમાં બેસાડી દે. હું ઊંઘ્યા કરું ને એ બ્રશ કરી દે, મારા દાંત સાફ કરી દે. પછી મને ઊંચકીને બાથરૂમમાં મુકી શાવર ચાલુ કરી દે. એટલે ત્યાં સુધી મને ઊંઘવા મળે અને એકવાર શાવર લઈ લઉં પછી બધું કામ કરવા માંડુ !!” પાર્થકાકાએ સિક્સર મારી ને બધા ખડખડાટ હસી પડ્યા.

    “તમે તો ખરા છો કાકા, કંઈ બ્રશ કરી દે એવો રોબોટ આવતો હશે!”

    “આવશે આવશે, તારા જેવા છોકરાઓ જ એની શોધ કરશે…” દાદાજીએ કહ્યું

    “અને મારે એવો રોબોટ જોઈએ જે બહુ ટ્રાફિક હોય ત્યારે મારી ગાડીની આગળના ભાગમાં મોટા પાવડાની જેમ બહાર નીકળે અને આગળની ગાડીઓને ઉંચકી ઉંચકીને પાછળ મુકી દે ને મારો રસ્તો સાફ કરી નાખે!” પપ્પાએ બીજી સિક્સર મારી. બધા વળી હસીને ગોટો વળી ગયા.

    “તમારા બંને ભાઈઓનું ભેજું જબરું ચાલે છે હોં ! પણ પછી બીજા લોકો તમારી ગાડીનેય એમ જ ઉંચકીને પાછળ મૂકી દેશે એનું શું?” માએ કહ્યું.

    “તો તો ‘અલકચલાણું ઓલે ઘેર ભાણું’ની જેમ આટાપાટાની રમત થયા કરે હોં!”

    “હવે ગાંડા કાઢવાના બંધ કરો, ચાલો દવાખાને જવું પડશે.” માએ રૂમમાં આવીને કહ્યું.

    ”કેમ શું થયું?”

    ”આ જો ને, શ્રીને અછબડા નીકળવાના હોય એમ લાગે છે. લાલ લાલ ફોડલીઓ થવા માંડી છે ને બિચારી ખંજવાળ ખંજવાળ કરે છે.”

    સભા બરખાસ્ત થતાં પહેલાં નિસર્ગભાઈએ છેલ્લો છગ્ગો ફટકાર્યો, “એય, ચાલો આપણે તપાસ કરીએ કે આપણે આંખો મીંચીને પડ્યા રહીએ અને આખા શરીરે મજ્જાનું ખંજવાળી આપે એવો રોબોટ મળે કે નહીં !!!”


    લતા હિરાણી * ‘બુલબુલ’ (બાળવાર્તાઓ)માંથી * ફ્લેમિંગો પ્રકાશન ૨૦૧૬

  • સદાબહાર સૂર શ્રી અવિનાશ વ્યાસ – ગાય તેનાં ગીત

    આલેખનઃ રાજુલ કૌશિક

    કવિ-લેખક શ્રી ધ્રુવ ભટ્ટ કહે છે ને કે ગાય તેનાં ગીત……કેવી સરસ વાત! જે લખે તેનાં તો એ ગીતો હોય જ પણ જે ગાય એને પણ સાવ પોતાના લાગે એવા ગીતો કેવા સરળ શબ્દોમાં લખાયા હશે ત્યારે એને સૌ અપનાવી શક્યા હશે?

    અવિનાશ વ્યાસના ગીતો આજ સુધી ગવાતા આવ્યા છે અને હંમેશા ગવાતા આવવાના છે કારણ કે એ સહજ અને સરળ શબ્દોમાં લખાયા છે.

    દરેક વાચક, શ્રોતાઓનો અલગ અલગ વર્ગ હોય. ક્યાંક કોઈ આધ્યાત્મિક, કોઈ ધાર્મિક તો કોઈ માર્મિક તો કોઈ સામાજિક-પારિવારિક. ત્યારે એવું બને કે એ દરેક ચાહકોને પણ કોઈ નિશ્ચિત લેખક, કવિ, ગીતકારને વાંચવા-સાંભળવા વધુ ગમે. કોઈએક તરફ એમનો ઝોક વધુ હોઈ શકે પરંતુ અવિનાશ વ્યાસ માટે એક સત્ય એવું જોયું છે કે એમની રચનાઓ પ્રત્યેક વાચકોને-શ્રોતાઓને સ્પર્શે છે કારણકે એમની રચનાઓમાં પ્રત્યેકના મન-હૃદયને સ્પર્શે એવું વૈવિધ્ય છે.

    એમણે એમની રચનામાં સંબંધોને સાચવ્યા, તહેવારોને ઉજવ્યા છે અને જ્યારે આ બંનેની વાત કરીએ ત્યારે એ આપણને સીધા જ શ્રાવણમાસની સાથે સાંકળી લે.

    શ્રાવણ મહિનો સૌનો લાડકો મહિનો. વર્ષ દરમ્યાન આવતા ધાર્મિક કે સામાજિક પ્રસંગોને લઈને એ સૌથી વધુ સમૃદ્ધ જણાશે. આવા આ સમૃદ્ધ શ્રાવણને અવિનાશ વ્યાસે એવી અનેક રચનાઓથી વધુ સમૃદ્ધ કર્યો છે. શ્રાવણ આવે એટલે તો સૌ પહેલાં યાદ આવે સંસારના સૌથી વહાલા સંબંધની. કાચા સૂતરના તાંતણે બંધાયેલો સૌથી વધુ સ્નેહાળ સંબંધ- ભાઈ-બહેનનો.

    અવિનાશ વ્યાસની આ એક રચનામાં એનો મહિમા ગવાયો છે. કેવો સરસ યોગાનુયોગ ! આજે રક્ષાબંધન અને આ વહાલસોયા અવસરે એમની આ રચના યાદ આવ્યા વગર રહે?

    આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
    નાચો નાચો નરનાર
    લઈ ફૂલકેરા હાર, હાલો બંધવાને તાર
    આ લાલ-પીળો દોરો’

    સમસ્ત વિશ્વની બહેનોના હૃદયના ભાવ અવિનાશ વ્યાસના આ ગીતમાં ઠલવાયા છે.

    એને તાણેવાણે બાંધુ, બંધુ તને દોરો,
    ભાઈ અને બેનની એવી રે સગાઈ કે
    જનમો જનમ ના આવે જુદાઈ,
    દુઃખનો પડછાયો કદી આવે નહીં ઓરો
    આ લાલ-પીળો દોરો…

    રીમઝીમ રીમઝીમ શ્રાવણની ધાર…
    કરે બાંધવ કેરો બેડોપાર,
    થઈ રક્ષાબંધન અમરતાર ,
    વરસે બહેનીને દ્વાર દ્વાર..

    બહેનની ભાવના કેટલી ઉદાત્ત? ભલેને એનો ભાઈ વિશ્વના કોઈ પણ ખૂણે કેમ ન હોય, સમસ્ત સંસાર સાથે વહેંચાયેલો કેમ ન હોય પણ એના હૃદયમાં તો ભાઈ માટે સદાય સ્નેહની સરવાણી જ….

    એના મનમાં માતાના સ્નેહના ભાગીદાર ભાઈની કે એના પ્રેમમાં ભાગ પડાવનાર ભાભીનીય ઈર્ષ્યા નથી. ભલેને ભાઈ સૌનો થઈને રહેતો પણ બંનેના હૃદયનો એક ખૂણો તો હંમેશાં એકબીજાનાં કલ્યાણ માટે ધબક્યા કરવાનો છે એવો વિશ્વાસ છે. બહેનના ભાવને અવિનાશ વ્યાસે કેટલી સહજતાથી રજૂ કર્યા છે?

    ભલો થાજે લાડકો તું જણનારી માવલડીનો
    ભલો થાજે પીયુડો તું ગોરી ગોરી ભાભલડીનો
    થજે તું સૌનો , ભાઈ રહેજે મારો.

    આ થઈ સંસારના સંબંધની વાત પણ સૃષ્ટિના સર્જનહાર-ઈશ્વરનો મહિમા પણ એમણે સરળતાથી ગાયો છે.

    અવિનાશ વ્યાસ માટે એવું સાંભળ્યું છે કે, “એમના ભજનો ઘીના ઉજાસ જેવા – આંખોને ચકાચોંધ કરી મુકે એવી ઝળહળા રોશની જરાતરા સમય માટે કદાચ ગમેય ખરી, પણ એ ઉજાસ સહી લેવા માટે આંખ આડે નેજવું કરવું તો પડે જ જ્યારે તીર્થધામમાં મુકેલો ઘીનો એ નાનકડો દીવો તો તીર્થના પ્રવેશ અને પરિસરથી માંડીને બહાર સુધી એનો ઉજાસ રેલાવતો હોય ને? એનો ઉજાસ તો પાછો આંખને અજવાળે અને આત્માનેય અજવાળે એમ આત્માને અજવાળે એવા એમના ભજનો છે.

    પણ, આ ભજનો એટલે શું? ભજનો એટલે ભગવાનનું નામ માત્ર? ના, ભજનો એ કે જે આત્માનો ઉદ્ધાર કરે કે ન કરે પણ આત્માના ઉદ્ધાર માટે સજ્જ કરે, આત્માની ચેતના જાગ્રત કરે એ જ્યારે આંતર ચેતના જાગ્રત થાય ત્યારે આપોઆપ મન બોલી ઉઠે… જ્યારે મન સંસારની માયામાંથી પરહરીને હરિને યાદ કરે ત્યારે અંતરના ઊંડાણથી અલખના નામની અહાલેક ઊઠે.

    ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની….
    હરિના એ નામની એ અલખના એ ધામની…

    ભૂલો રે પડ્યો એ હંસો
    આંગણે ઊડીને આવ્યો
    તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
    કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
    કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
    હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની ….

    હવે જેમ મીરાંને સંસાર ખારો લાગે એમ જે જીવને ભક્તિ કેરા જામની તરસ જાગી હોય એને સંસારના સાજ બેસૂરા લાગે તો એ શું કહે? આવી મનોસ્થિતિમાં અવિનાશ વ્યાસ કહે છે …

    બેસૂર સાજ સંસાર રે,
    મારો મળ્યો મળે નહીં તાર…

    મૂળે અવિનાશ વ્યાસ ગીતકાર છે. રાગ તો એમના શ્વાસો શ્વાસમાં…એટલે કહે છે કે અનેકવિધ રાગ ગાયા પરંતુ અંતે તો વૈરાગનો રાગ જ મને ભવાટવીમાંથી બહાર લાવશે. સંગીતના સાત સૂરોને એમણે સાવ સહજ રીતે આ રચનામાં વણી લીધા છે.

    ગાયા કંઈયે વિધ વિધ રાગ,
    અંતે છેડ્યો મેં વૈરાગ,
    લઈ જાશે ભવની પાર રે,
    થઈ ભવભવનો સથવાર.

    આમ પણ સાત સૂરોના સરગમનું સંગીત એકસૂર, એકતાર થઈને રહે તો જ સંગીતની સૂરાવલિ સચવાય. આપણા જીવનમાં સમતા, દયા, ઘમંડમુક્તિ, હૃદય-મનની મૃદુતા-માર્દવતા અને નરસિંહ મહેતા કહે છે એમ પરદુઃખે ઉપકારીવૃત્તિ, આંતરિક ચેતનાનું ધન અને નિર્બળ પર અનુકંપા હોય તો ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ સરળતાથી સચવાય.

    અવિનાશ વ્યાસ કહે છે,

    સમતાનો જ્યાં ષડ્જ મળે નહીં,
    રિષભ મળે નહીં, રહેમભર્યો,
    મૃદુવચની જ્યાં મળે નહીં મધ્યમ,
    જ્યાં ઘમંડના ગાંધાર રે,
    ત્યાં કેમ મળે મ્હારો તાર?
    પરદુઃખીનો પંચમ ના બોલે,
    ધનિકનો થઈ ધૈવત ડોલે,
    નહીં નિર્બળનો નિષાદ રે,
    ત્યાં કેમ મળે મ્હારો તાર?”

    સંસારમાં રહીને પણ આવી અને આટલી જાગૃતિ ? એના માટે ક્યાં કોઈ ભજનિકના લેબલની જરૂર જ છે?

    સૌને એટલે જ અવિનાશ વ્યાસની રચનાઓ અત્યંત ગમે છે. કોઈ બોધ કે ઉપદેશ વગર પણ આપણા ચિત્તને, આત્માને જાગૃત કરી દે, જે હૃદય-મનને મોજીલા બનાવી દે.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કાળી નાની પરીઓનો જાદુ

    ગિરિમા ઘારેખાન

    એક ગામ હતું. ગામમાં રાજવીર નામે એક વેપારી રહેતો હતો. એની પાસે ઘણા પૈસા હતા. અનાજ અને બીજી વસ્તુઓના મોટા મોટા ગોડાઉન હતા. પણ એ હતો બહુ કંજૂસ. પોતાના નોકરો પાસે ખૂબ કામ કરાવે. ના કરે તો એમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપે. નોકરોથી ક્યારેક કામ પૂરું થાય એવું ના હોય તો એ લોકો બિચારા પોતાના બાળકોને પણ મદદ કરવા બોલાવી લે.

    એક દિવસની વાત છે. કુકુ નામે એક કીડી રાજવીરના એક ગોડાઉન પાસેથી પસાર થઇ રહી હતી. આમ તો એમાં ઘઉં રાખવામાં આવતા હતા. પણ કુકુને એ દિવસે એમાંથી ખાંડની સુગંધ આવી. એને ભૂખ તો લાગી જ હતી. કીડી દરવાજાની નીચેથી ગોડાઉનની અંદર ગઈ. અંદર જઈને એણે જોયું કે ત્યાં જમીન ઉપર વચ્ચોવચ ઘઉંનો ઢગલો પડેલો હતો. એને સમજાયું નહીં કે એમાંથી એને ખાંડની સુગંધ કેવી રીતે આવતી હતી ? ઢગલાની બાજુમાં બે છોકરીઓ બેઠી હતી અને રડતી હતી.

    કુકુ કીડીને કંઈ સમજાયું નહીં. એણે એક થોડી મોટી છોકરીને પૂછ્યું, ‘તમે કોણ છો? તમારા નામ શું છે ? તમે બંને અહીં બેસીને કેમ રડો છો?’

    છોકરીએ રડતાં રડતાં જવાબ આપ્યો. ‘મારું નામ હંસા છે. આ મારી નાની બેન સરોજ છે. આ રાજવીરશેઠનું ગોડાઉન છે. અમારા બાપુજી અહીં નોકરી કરે છે. કાલે અહીં એ અહીં ઘઉંનો થેલો પીઠ ઉપર ઊંચકીને લાવતા હતા. એ બહુ ભારે હતો. તો પણ શેઠે બીજા બાજુના ગોડાઉનમાં મૂકવાનો બીજો ખાંડનો નાનો થેલો પણ એમની પીઠ ઉપર મૂકી દીધો. અહીં પહોંચતા સુધીમાં તો એ બહુ થાકી ગયા. એમના હાથમાં બંને થેલા પકડી રાખવા જેટલું જોર ન હતું રહ્યું. એટલે બંને થેલા એમની પીઠ ઉપરથી પડીને તૂટી ગયા. એને લીધે અહીં ઘઉં અને ખાંડ ભેગા થઇ ગયા છે.’

    આટલું બોલીને હંસા તો ફરીથી રડવા માંડી. કુકુ કીડીએ સરોજની સામે જોયું. સરોજે આગળની વાત કહી, ‘એ જાણીને રાજવીરશેઠ અમારા બાપુજી ઉપર બહુ ગુસ્સે થઇ ગયા. એમણે અમને અહીં લાવીને બેસાડી દીધી છે. બાપુજીને તો એ બીજું કામ કરવા લઇ ગયા. પણ અમને કહ્યું છે કે સાંજ સુધીમાં જો અમે આ ઘઉં અને ખાંડ જુદા નહીં કરી આપીએ તો એ અમારા બાપુજીને નોકરીમાંથી કાઢી મૂકશે. અમે જાણીએ છીએ કે આ કામ તો થઇ શકે એવું છે જ નહીં. આટલા બધા ઘઉં અને આટલા નાના ખાંડના દાણા તો કેવી રીતે છૂટા પાડી શકાય ? હવે એ શેઠ અમારા બાપુજીને નોકરીમાંથી કાઢી મૂકશે. પછી અમે શું કરીશું ?’

    આટલું બોલીને સરોજ પણ ફરીથી રડવા માંડી.

    કુકુ પણ આ વાત સાંભળીને ઉદાસ થઇ ગઈ. હવે શું કરવું ? હંસા અને સરોજનું રડવાનું તો ચાલુ જ હતું. એણે ખૂબ વિચાર કર્યો .પછી એના નાનકડા પણ ચતુર દિમાગમાં એક સરસ વિચાર આવ્યો. એણે કહ્યું, ‘હંસા, સરોજ, હવે તમારે રડવાની જરૂર નથી. તમારું કામ હું કરી આપીશ.’

    બંને બહેનો તો રડવાનું ભૂલીને આશ્ચર્યથી આ નાનકડી કીડી સામે જોઈ રહી. આ નાનકી વળી આટલું મોટું કામ કેવી રીતે કરશે ? હંસાએ તો પૂછી જ લીધું, ‘પણ કીડીબેન, તમે તો આટલા નાના છો ! તમે આ કામ કેવી રીતે કરી શકશો?’

    કીડીએ કહ્યું, તમે જોયાં કરો. તમે ખાલી આ ઢગલો જમીન ઉપર પહોળો કરી નાખો. હું હમણાં બહાર જઈને આવું છું.‘

    કુકુ કીડી તો બહાર ગઈ અને બહાર એમના દરમાં રહેતી એની બધી બહેનપણીઓને એણે આ વાત કરી. બધી કીડીઓ આ બે બહેનોને મદદ કરવા તૈયાર થઇ ગઈ.

    થોડી વારમાં તો આખું ગોડાઉન કીડીઓથી ઊભરાઈ ગયું. કુકુના કહેવા પ્રમાણે બંને બહેનોએ પેલા  ઢગલાને જમીન ઉપર સપાટ પાથરી દીધો હતો. એ બધી કીડીઓ તો ખાંડના દાણાને મોંમાં લઈને એક બાજુ મૂકવા માંડી. કુકુએ આજે એમને સમજાવ્યું હતું કે પહેલા કોઈએ ખાવાનું નથી કે દાણા દરમાં લઇ જવાના નથી. જોતાં જોતામાં તો ઘઉંમાંથી છૂટી પાડેલી ખાંડનો એક બાજુ જુદો ઢગલો થઇ ગયો. સરોજ અને હંસા તો આંખો ફાફી ફાડીને કીડીઓના આ સંપને અને એના લશ્કરને આમ કામ કરતાં જોઈ જ રહ્યાં. પાછું આ કામ એમણે કેટલી ઝડપથી પતાવી દીધું !

    જયારે ઢગલામાં બહુ થોડી ખાંડ બાકી રહી ત્યારે કુકુએ કહ્યું, ‘ચાલો સખીઓ. તમે બધાએ બહુ કામ કર્યું છે. હવે આ બચેલા ઝીણા ઝીણા કણ ખાવાની છૂટ છે. થોડી આપણે આપણા દરમાં પણ લઇ જઈશું. થોડી ખાંડ ઓછી થશે તો પેલા કંજૂસ રાજવીરને કંઈ ખબર નહીં પડે. આવડી નાની છોકરીઓને આટલું હેરાન કરે તો એટલો દંડ તો એને મળવો જ જોઈએ.’

    કીડીઓ તો ખુશ ખુશ. નીચે બચેલા ઝીણા દાણા પણ ઘણા હતા. આટલી બધી ખાંડ આવી રીતે ક્યાં ખાવા મળે ? એ લોકોએ થોડા દાણા ખાધા અને બચેલા પોતાના દરમાં પણ લઇ ગઈ. સરોજ અને હંસાએ બધી કીડીઓનો, ખાસ કરીને કુકુ કીડીનો ખૂબ આભાર માન્યો.

    સાંજ પડી એટલે રાજવીર શેઠ ગોડાઉનમાં આવ્યા. એમણે ધાર્યું હતું કે પોતે સોંપેલું અશક્ય કામ એલી બે છોકરીઓ નહીં જ કરી શકી હોય. એટલે હવે એ એમના બાપુજીનો પગાર કાપી લેશે. પણ એમણે તો જોયું કે ઘઉં અને ખાંડના ઢગલા તો જુદા થયેલા હતા. આ અશક્ય લાગતું કામ થયેલું જોઇને એમને બહુ જ નવાઈ લાગી. એમણે એ બે બહેનોને એ કેવી રીતે કર્યું એમ પૂછ્યું.

    આનંદમાં આવી ગયેલી હંસા અને સરોજ તો નાચતે નાચતે ગાવા લાગ્યા,

    ‘જાદુ થયું ભાઈ જાદુ થયું
    જુઓ કેવું અહીં જાદુ થયું
    કોઈને પણ કહેવાનું નથી કે
    કાળી નાની પરીઓએ જાદુ કર્યું’

    રાજવીર શેઠને સમજાયું નહીં કે આ કાળી નાની પરીઓ કોણ હશે. પણ તમે તો સમજી ગયા ને, બાળમિત્રો?


    ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯

  • મારું એ યાદગાર સન્માન

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

    કોઇએ કશુંક સમાજોપયોગી કાર્ય કર્યું હોય કે વ્યક્તિગત સિદ્ધિ મેળવી હોય તો તેનુ જાહેરમાં સન્માન કરવાનો રિવાજ આપણે ત્યાં વર્ષોથી છે. જેણે કશું પણ ન કર્યું હોય તે વ્યક્તિ સાંઈઠ, પંચોતેર કે એંસી વર્ષ જીવી જાય તેટલા માત્રથી પણ સન્માનને પાત્ર થતી જાણી છે.

    કેટલાક સામાજિક, સાહિત્યિક,ધાર્મિક અથવા રાજકીય મેળાવડાઓમાં મુખ્ય કાર્યક્રમ ઉપરાંત કોઇ એકનું કે અનેકનાં સાગમટે સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે, તો ક્યારેક મુખ્ય કાર્યક્રમ જ સન્માન કરવાનો રાખવામાં આવે છે. સન્માન કરવાની રીતોમાં વૈવિધ્ય હોય છે, જેમ કે ફૂલોનો હાર પહેરાવીને, ક્યાંક ગાંધીવાદી રીત જીવતી હોય તો ગળામાં સૂતરની આંટી પહેરાવીને, હાથમાં પુષ્પગુચ્છ પકડાવીને, પોતાને કે સન્માનિત વ્યક્તિને જો પુસ્તકપ્રેમી માનતા હોય તો પુસ્તક અર્પણ કરીને સન્માન કરવામાં આવે છે. કોઇવાર નક્કી કરેલી રકમનો ચેક પણ અર્પણ કરવામાં આવે છે. પરંતુ ચેક અર્પણ કરવામાં કપાળ જોઇને ચાંલ્લો કરવાની રસમ અપનાવવામાં આવે છે. આ બધી વિધિ માટે સન્માનપાત્ર વ્યક્તિને મંચ પર બોલાવવામાં આવે છે. પરંતુ સન્માનિત વ્યક્તિ જો ‘વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ્ ની સાથે અંગમ ગલિતમ્’ પણ હોય તો તે વ્યક્તિ જ્યાં બીરાજ્યા હોય તે જગ્યાએ જઈને વિધિ કરવામાં આવે છે. ક્યારેક કોઇનું માત્ર શાબ્દિક સન્માન કરવામાં આવે છે, જેમાં -સન્માન કરનારે કે સન્માનપાત્ર વ્યક્તિએ- બે માંથી એકને પણ સ્થાળાંતર કરવાની જરૂર પડતી નથી.

    ક્યારેક મહાનુભવનું જેમના દ્વારા સન્માન કરવામાં આવે છે, તેમાં હેતું સન્માન કરનાર વ્યક્તિનું પણ આડકતરી રીતે સન્માન કરવાનો હોય છે.

    કોઇનું પણ સન્માન કરતા પહેલા જે તે વ્યક્તિએ મેળવેલી સિદ્ધિના ગુણગાન ગાવામાં આવે છે. એવું પણ ક્યારેક બનતું હોય છે કે જે તે વ્યક્તિને સન્માન મળવાની સાથે પોતે પણ જેનાથી અજાણ હોય તેવા પોતાના ગુણો પણ તેને જાણવા મળી જાય છે!

    સન્માન કરવા માટેની બીજી બધી વિધિઓ ઝડપથી પતી જાય છે. પરંતુ શાલ ઓઢાડીને કરવામાં આવતી વિધિ થોડો વધારે સમય ચાલે છે. સૌ પ્રથમ તો સન્માનપાત્ર વ્યક્તિને બરાબર ઓઢાડી શકાય એવા યોગ્ય આકારમાં અને કદમાં શાલને વાળવામાં આવે છે. જો સન્માન પાત્ર વ્યક્તિની દેહયષ્ટિ વિશાળ હોય તો એક વ્યક્તિથી શાલના બન્ને છેડા બરાબર પકડી શકાતા નથી માટે બીજા કોઇની મદદ લેવામાં આવે છે. આ વિધિમાં બહુ બધા લોકોને જેનું આકર્ષણ હોય છે એવા સ્ટેજ પર વધુ સમય સુધી ટકી રહેવાની તક સન્માનિત વ્યક્તિને સાંપડે છે. કહેવાની જરૂર નથી કે કોઇ પણ સન્માનની વિધિ તસવીર લીધા વિના સંપન્ન થતી નથી.

    મેં પોતે સન્માનને લાયક કોઇ મોટી ધાડ મારી નથી તો પણ જેમ ઘણા બધાને ઘોડે ચડતા જોઇને લગ્નની વય વટી ગયેલાને પોતાને પણ પરણવાનું મન થાય એમ ઘણા લોકોનાં સન્માનોના અનેક કાર્યક્રમો નિહાળવાને કારણે મારું પણ ક્યાંક સન્માન થાય એવી વાસના મારામાં જન્મી. આ વાસના કયા માર્ગે સંતોષાશે તે ઉપાયો શોધવા લાગ્યો. અનેક લોકો પાસે દોણી લઈને ગયો પણ મારે છાશ લેવી છે તેમ જણાવી ન શક્યો. ઉલ્ટાનું દોણી હાથમાં છતા એમ કહ્યા કર્યું કે લોકોને છાશની જરૂર શા માટે પડતી હશે? મને તો છાશ પીવી ગમતી જ નથી. પરંતુ જેમ પોતાનાં મનકી બાત કહેનાર હોય છે તેમ બીજાનાં મનકી બાત જાણી જનારા પણ હોય છે. મારાં મનની વાત સમજનારા એક વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી એવા એક  વડીલ મિત્ર મળી ગયા.  એ મિત્રે મને હૈયાધારણ આપી, “તું ચિંતા ન કરીશ, હું તારું ગોઠવી આપીશ! પરંતુ એ માટે યોગ્ય પ્રસંગ આવવા દે”

    અને થોડા સમયમાં જ એ પ્રસંગ આવીને ઊભો રહ્યો. મિત્ર જે વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી હતા તેનાં એક નવાં મકાનનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું હતું. મકાન અનેક દાતાઓની મદદથી બનેલું હતું પરંતુ ઉદ્ઘાટન કોઇ રાજકીય નેતાને હાથે કરવાનું નક્કી થયું હતું અને આશીર્વચન માટે એક સંતને બોલાવવામાં આવ્યા હતા. જો કે દાતાઓની કદર કરવા માટે તેમનું સન્માન કરવાનું નક્કી થયું જ હતું. પેલા વડીલ મિત્રને આ કાર્યક્રમમાં મારા સન્માનની પણ તક સાંપડવાની શક્યતા દેખાઇ. તેમણે મને જે તે તારીખે અને સમયે કાર્યક્રમના સ્થળે હાજર રહેવાની સૂચના(ખરેખર તો તાકીદ જ) કરી. પરંતુ મારાં કયાં કાર્ય માટે મારું સન્માન થઈ શકે એવી મારી મુંઝવણ તો ઊભી જ રહી. પરંતુ વડીલ ખૂબ વ્યવહારુ હતા, તેમની પાસે મારી મુંઝવણનો ઉકેલ હાજર હતો જ.

    તેમણે મને પૂછ્યું , “તને લખતા તો આવડે છે ને?”

    “ કક્કો અને બારાખડી તો હું શાળામાં ભણતો ત્યારે જ શીખેલો”

    “બહુ દોઢ ડાહ્યો ના થા. લેખક લખે તેવું લખવાનું કહું છું”

    “હા લેખકે લખ્યું હોય તેવું થોડુંઘણું લાગે એવું તો લખી શકું છું”

    “બસ, તો એક કામ કર. આ વૃદ્ધાશ્રમની સ્થાપનાથી માંડીને આજે તેનું નવું મકાન બન્યું ત્યાં સુધીનો ઈતિહાસ તેમજ સ્થાપના કરનારાના અને તેમાં મદદ કરનારાઓના ગુણગાન કરતું લખાણ લખી આપ. સંસ્થાના પ્રમુખ અને નવા મકાનનું ઉદ્ઘાટન કરનાર નેતાના ગુણગાન વિશેષ લખજે. આ લખાણનો આમંત્રણ પત્રિકા તરીકે પણ ઉપયોગ કરવાનો છે. તેથી તેમાં ઉદ્ઘાટનનો અને ભોજન સમારંભનો સમય પણ લખજે”

    વડીલની સૂચના પ્રમાણે મેં લખાણ તો તૈયાર કર્યું, પણ લખાણથી મને સંતોષ નથી એમ મારા કહેવાના જવાબમાં તેમણે કહ્યું, “તું હજુ વેદિયો જ રહ્યો. તારું આખું લખાણ કોઇ વાંચવાનું જ નથી. લોકો માત્ર ફક્ત ભોજનનો સમય જ વાંચવાના છે. હું આ લખાણ છપાવીશ અને આવું સરસ લખાણ તૈયાર કરનાર તરીકે તારું નામ પણ સન્માન પાત્ર વ્યક્તિઓમાં ઘૂસાડી દઈશ!”

    અને એ અવસરિયો આવી પહોંચ્યો. રિવાજ મુજબ મંચ અને સભામંડપ ઊભા કરવામાં આવ્યા. હું તો સમય પહેલા ઘણો જ વહેલો સભામંડપમાં આવી ગયો. એ સમયે મારા ઉપરાંત ખુરશીઓ ગોઠવનાર એક સેવક જ હાજર હતા. એ ભાઈએ મને તેમનો સહકર્મી માની લીધો અને મને તેમનાં કાર્યમાં ગોઠવી દીધો. સમય થતા ધીમે ધીમે લોકો આવતા થયા. પેલા વડીલ મિત્ર પણ આવી પહોંચ્યા અને આવતાની સાથે જ તેમણે મને તાકીદ કરી કે મંચ પરથી તારું નામ બોલાય ત્યાં સુધી ક્યાંય પણ આઘોપાછો થતો નહીં. હું પોતે પણ આ માટે માનસિક રીતે તૈયાર જ હતો

    ધીરે ધીરે મંચ પર મહાનુભવો પોતપોતાનાં સ્થાને ગોઠવાવા લાગ્યા. સૌ પ્રથમ એક ભાઈએ માઇક હાથમાં લીધું જેથી તેમની ઉદ્ઘોષ્ક તરીકે ઓળખ સ્થાપિત થઈ ગઈ. પછી રાબેતા મુજબ સ્વાગત પ્રવચન અને અને બીજા મંચસ્થ મહાનુભવોનાં પ્રવચનો થવા લાગ્યા. મારું ચિત્ત તો સન્માન માટે મારું નામ ક્યારે બોલાય તેમાં જ હોવાથી કોણ શું બોલ્યું તેનું તો મને ધ્યાન મને ન રહ્યું, ઉપરાંત ઉદ્ઘઘાટન વિધિ પણ ક્યારે પતી ગઈ તેનો પણ ખ્યાલ ન રહ્યો. ઉદ્ઘોષકે જાહેર કર્યું કે હવે ભોજન માટેનો વિરામ છે અને ત્યાર પછી સન્માન સમારંભ શરૂ થશે. સમારંભનું પ્રથમ સત્ર મારા સન્માન વિના જ સંપન્ન થયું.

    ભોજન સમયે પણ પેલા વડીલ મિત્રે મને સન્માન સમારંભના સમયે સતત હાજર રહેવા તાકીદ કરી. અગાઉનાં સત્રમાં સતત બેસી રહેવાને કારણે મારા પર શું વીત્યું એ જણાવતો નથી પરંતુ એ સમયના અનુભવને કારણે મારી કુદરતી હાજતને પૂરેપૂરો જ નહિ પણ વધરે પડતો લાગે એવો ન્યાય આપીને જ સન્માન સમારંભમાં હાજર થઈ ગયો.

    રાબેતા મુજબ સમય કરતા મોડો સન્માન સમારંભ શરૂ થઈ ગયો. નેતા તો ઉદ્ઘઘાટન અને પ્રવચન કરીને તેમના કહ્યાં મુજબ બીજું કોઈ ઉદ્ઘાટન કરવા જતા રહયા હતા. એ સિવાય અન્ય મંચસ્થ મહાનુભવો પોતાનાં પ્રવચન અને ભોજનને ન્યાય આપીને નીકળી ગયા હતા. માત્ર ઉદ્ઘોષક અને કેટલાક નવા મહાનુભવો જેમના શુભ હસ્તે સન્માન થવાનું હતું એ જ હાજર હતા. સભામંડપમાં મોટાભાગની ખુરશીઓ ખાલી હતી. માત્ર સન્માન કરનારા, જેમનું સન્માન થવાનું હતું તેઓ અને તેમના સગાવહાલા, સ્નેહી મિત્રો જ હાજર હતા.

    ઉદ્ઘોષક પાસે સન્માન પાત્ર વ્યક્તિઓનું એક લાંબું લિસ્ટ હતું. આ લિસ્ટમાં નાની મોટી રકમનું દાન કરનાર દાતાઓનાં નામો તો હતા જ ઉપરાંત મકાનનો પ્લાન બનાવનાર ઇજનેર, કડિયાઓ, દાડિયાઓ, મંડપ ઊભો કરનાર કારીગરો તેમજ ખુરશીઓ પૂરી પાડનાર ડેકોરેટર વગેરેનાં નામો પણ હતા. આ લિસ્ટમાં મારું નામ છે તેની ખાતરી કરવાનું પેલા વડીલ મિત્ર ચૂક્યા ન હતા. એક પછી એક નામો બોલાતાં ગયાં અને સન્માન પાત્ર વ્યક્તિઓ મંચારોહણ કરીને સન્માન મેળવવા લાગ્યા.

    આખરે (મારા માટે જ સ્તો)એ ધન્ય ઘડી આવી પહોંચી. ઉદ્ઘોષક દ્વારા મારું નામ પોકારાયું. મંચ પર ઝડપથી પહોંચી શકાય એ માટે પહેલેથી હું અધુકડો જ બેઠો હતો. મંચ પર પહોંચ્યો તો ખરો પણ મારું સન્માન શેના માટે કરવામાં આવે છે તેની જાણ પેલા ઉદ્ઘોષક ભાઇને ન હતી. પરંતુ આ સમસ્યાના હલ માટે પેલા વડીલ મિત્ર તૈયાર જ હતા. તેમણે ઉદ્ઘોષકને ધીમેથી કાનમાં બોલીને સમજાવી દીધું. અખરે શાલ ઓઢડીને મારું સન્માન કરવામાં આવ્યું (પછીથી જાણ થઈ કે એ શાલ પણ પેલા વડીલ મિત્ર જ લાવ્યા હતા!)

    આમ એક કર્મકાંડ દ્વારા મારી વાસનાનો ભલે મોક્ષ થયો હોય એમ લાગ્યું, પરંતુ મારો અંતરાત્મા મારા એક કાનમાં મારો ઉપહાસ કરતો હોય તેમ માલવપતિ મુંજ’ નામના એક નાટક માટે પ્રભુલાલ દ્વિવેદીએ લખેલું પેલું ગીત “હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે, ન પરવા માનની તોયે બધા સન્માન ઓછાં છે” તે અને બીજા કાનમાં ભૃતુહરીનો શ્લોક

    “फलं स्वेच्छालभ्यं प्रतिदिनमखेदं क्षितिरुहां
    पयः स्थाने स्थाने शिशिर मधुरं पुण्य स्थिताम्।
    मृदुस्पर्शा शय्या सुललितलतापल्लवमयी
    सहन्ते सन्तापं तदपि धनिनां द्वारि कृपणाः।।

    સંભળાવી રહ્યો હતો.


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • જળવાયુ પરિવર્તન દેશના એકેએક બાળકને અસર કરી રહ્યું છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    આપણા દેશનાં અનેક બાળકો ગરીબી, બીમારી, પોષણ અને શિક્ષણના અભાવ જેવી બાબતોથી ગ્રસ્ત છે એ હકીકત હવે જૂની થઈ. એ દિશામાં કામ ચાલતું હોવા છતાં હજી એનાથી સંપૂર્ણપણે મુક્ત થવાયું નથી. પણ જળવાયુ પરિવર્તન એક એવું પરિબળ બની રહ્યું હોવાનું જાણમાં આવ્યું છે કે જેનાથી કેવળ ગરીબ જ નહીં, આપણા દેશનું એકેએક બાળક અસરગ્રસ્ત હોય. અને આ દાવો કોઈ એકાદ બે પર્યાવરણવાદી સંસ્થાનો નથી, પણ ‘યુનિસેફ’ (યુનાઈટેડ નેશન્‍સ ચિલ્ડ્રન્‍સ ઈમરજન્‍સી ફન્‍ડ)ના ‘ધ ચિલ્ડ્રન્‍સ ક્લાઈમેટ રિસ્ક રિપોર્ટ ૨૦૨૬’ નામના અહેવાલનું તારણ છે.  બાળકો પર તોળાઈ રહેલા જોખમોના ‘ગ્લોબલ ચાઈલ્ડ હેઝાર્ડ ડેટાબેઝ’ના આધારે તૈયાર કરાયેલા આ અહેવાલમાં વિશ્વભરનાં બાળકો કયા પ્રકારનાં આબોહવા જોખમોનો સામનો કરી રહ્યાં છે તેનું અત્યાર સુધીનું સૌથી વિગતવાર ચિત્ર તેમાં રજૂ કરવામાં આવ્યું છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    આ અહેવાલમાં ભારત વિશેના આંકડા વધુ ચિંતાજનક છે. એ મુજબ આપણા દેશમાં ૯૯.૭ ટકા બાળકો જળવાયુ સંબંધિત ઓછામાં ઓછા એક જોખમના સંપર્કમાં છે. એટલે કે લગભગ દરેક બાળક અતિશય ગરમી, દુષ્કાળ, પૂર, વાવાઝોડું અથવા આવા કોઈ ને કોઈ જોખમનો સામનો કરી રહ્યું છે. એટલું જ નહીં, લગભગ ૯૭ ટકા બાળકો એક સાથે બે કે તેથી વધુ જળવાયુ જોખમોનો સામનો કરે છે, જ્યારે ૫૫ ટકા બાળકો ત્રણ કે તેથી વધુ જળવાયુ જોખમોથી ઘેરાયેલા છે. આશરે ૩૯.૨ કરોડ બાળકો અતિશય ગરમી અને લગભગ ૯ કરોડ બાળકો હીટવેવની અસરવાળા વિસ્તારોમાં રહે છે.

    જળવાયુ પરિવર્તનની ચર્ચા થાય ત્યારે સામાન્ય રીતે વધતા તાપમાનના નવા વિક્રમો, અનિયમિત વરસાદ, વાવાઝોડાં, પૂર કે દુષ્કાળ વગેરે જેવા મુદ્દાઓ મુખ્ય છે. વિવિધ પ્રકારના આંકડા રજૂ થાય છે, કાર્બન ઉત્સર્જનની ચર્ચા થાય છે અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લેનારા દેશો પ્રતિબદ્ધતા જાહેર કરે છે. આ અને આવી અન્ય ચર્ચાઓમાં એક પ્રશ્ન મોટે ભાગે કદી ચર્ચામાં આવતો નથી અને તે એ કે આ બધાની સૌથી મોટી કિંમત કોણ ચૂકવી રહ્યું છે? એનો જવાબ છે: બાળકો.

    આ બાબત અતિશય ચિંતાજનક કહી શકાય એમ નથી લાગતું? કેમ કે, જળવાયુ પરિવર્તન માટે આ બાળકો જવાબદાર નથી, પણ તેની સૌથી મોટી કિંમત તેઓ ચૂકવી રહ્યા છે. આ શી રીતે એ સમજવા જેવું છે. એક પુખ્ત વ્યક્તિ અતિશય ગરમીમાં પણ પોતાનું ધ્યાન રાખી શકે છે. તેને એનાં જોખમનો અંદાજ હોય છે. પણ બાળકનું શરીર હજી વિકસી રહ્યું હોય છે. ઊંચું તાપમાન, પ્રદૂષિત હવા કે દૂષિત પાણી તેની શારીરિક વૃદ્ધિ પર લાંબા ગાળાની અસર કરી શકે છે. ઘણી વાર આ અસર તરત ન પણ દેખાય. વર્ષો પછી તે આરોગ્ય, શિક્ષણ અને જીવનની વિવિધ તકોમાં દેખા દે છે.

    ‘યુનિસેફ’નો અહેવાલ એક મહત્વની બાબત તરફ પણ ધ્યાન દોરે છે. એ મુજબ જળવાયુ પરિવર્તનનું જોખમ કદી એકલું આવતું નથી. અતિશય ગરમી, પૂર કે દુષ્કાળ જેવી પરિસ્થિતિઓનું જોડાણ નબળી આરોગ્યસેવાઓ, પીવાના પાણીની અપૂરતી વ્યવસ્થા, કુપોષણ, શિક્ષણમાં વિક્ષેપ અને સામાજિક સુરક્ષાના અભાવ સાથે થાય, ત્યારે બાળકો માટેનું જોખમ અનેકગણું વધી જાય છે. ટૂંકમાં કહીએ તો આ પ્રશ્ન કેવળ વાતાવરણને લગતો નથી; પણ સમગ્ર બાળવિકાસનો છે.

    અને એ બાબત ચોક્કસ છે કે જળવાયુ પરિવર્તનની અસર માત્ર આરોગ્ય પૂરતી મર્યાદિત નથી. પૂર આવે ત્યારે શાળાઓ બંધ થાય છે. દુષ્કાળ વખતે પરિવારો રોજગારની શોધમાં સ્થળાંતર કરે છે અને બાળકોનું શિક્ષણ અધવચ્ચે અટકી જાય છે. અતિશય ગરમીને કારણે શાળાનો સમય બદલવો પડે કે રજાઓ લંબાવવી પડે છે. એટલે કે એ શિક્ષણનો પણ પ્રશ્ન છે. બીજી એક અસર એટલી જ ગંભીર છે. કુદરતી આપત્તિ પછી સૌથી પહેલાં ગરીબ પરિવારોને અસર છે. તેમની આવક ઘટે છે, રોજગાર અસ્થિર થાય છે અને તેનો સીધો પ્રભાવ બાળકોના પોષણ પર પડે છે. કુપોષણ, ચેપી રોગો અને શિક્ષણથી વંચિતતાનો ખતરો વધી જાય છે. એ રીતે જળવાયુ પરિવર્તન અસમાનતાની ખાઈને વધુ પહોળી કરે છે.

    ભારત જેવા દેશમાં આ પ્રશ્ન વધુ ગંભીર છે, કારણ કે બાળકોની સૌથી વધુ સંખ્યા ધરાવતા દેશોમાંનો એ એક છે. તેથી જળવાયુ પરિવર્તનનો અર્થ ફક્ત પર્યાવરણનું નુકસાન નથી; તે દેશના ભાવિ માનવસંસાધન પર થતી વિપરીત અસર પણ છે. હીટવેવને કારણે શાળામાં ન જઈ શકતું, કુપોષણનો ભોગ બનતું કે પ્રદૂષિત હવાને કારણે બીમાર પડતું આજનું બાળક આવતીકાલનો નાગરિક છે.

    નવાઈ લાગે એવી કે આમ તો નવાઈ ન લાગે એવી વાત એ છે કે જળવાયુને લગતી નીતિઓમાં વિચારણા વખતે બાળકોને કેન્દ્રમાં રાખીને ભાગ્યે જ વિચારાય છે. અન્ય નીતિઓની સાથોસાથ શાળાઓને ગરમી અને પૂર સામે વધુ સુરક્ષિત બનાવવી, પીવાના પાણીની વ્યવસ્થા સુધારવી, શાળાઓમાં ગરમી સામે રક્ષણની વ્યવસ્થા કરવી, બાળકો માટે આરોગ્યસેવાઓ મજબૂત બનાવવી અને કુદરતી આપત્તિ સમયે શિક્ષણમાં વિક્ષેપ ઓછામાં ઓછો થાય એ માટે અલગ આયોજન કરવું એટલું જ જરૂરી છે. ‘યુનિસેફ’ દ્વારા પણ વિવિધ સરકારોને ‘બાળકેન્દ્રિત જળવાયુ અનુકૂલન’ને નીતિના કેન્દ્રમાં રાખવાની ભલામણ કરવામાં આવી છે.

    વક્રતા એ છે જળવાયુ પરિવર્તનની ચર્ચા ઘણી બધી વાર ‘ભાવિ પેઢી’ના નામે થાય છે. હકીકત એ છે કે એ ‘ભાવિ પેઢી’ હવે વર્તમાન પેઢી’ બની ગઈ છે. પ્રશ્ન ભવિષ્યનો નથી; વર્તમાનનો છે. એ માત્ર પર્યાવરણ સામેનો નહીં, રાષ્ટ્રના ભવિષ્ય માટેનો પણ સૌથી ગંભીર પડકાર છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૨૦-૮– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • એક સુવર્ણયુગમાં લટાર !

    હરેશ ધોળકિયા

    વિશ્વના એક મહાન ક્રિકેટર, ડોન બ્રેડમેનના સમકક્ષ એવા, ગેરી સોબર્સે વિદાય લીધી. જે લોકો ગઈ સદીમાં સાતમા દાયકા દરમ્યાન જન્મ્યા છે, તેમને આ સોબર્સ વિષે ભાગ્યે જ ખ્યાલ હશે, પણ તે પહેલાં, પાંચમાં દાયકા દરમ્યાન જન્મ્યા હશે અથવા ત્યારે યુવાન હશે, તેમને સોબર્સ વિષે પૂર્ણ ખ્યાલ હશે.

    સોબર્સ ભલે વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર હતા, પણ ત્યારે સમગ્ર વિશ્વના જે ઉત્તમ ક્રિકેટરો હતા તેમાં તે પણ એક અગ્રણી હતા. અને નિવૃત્તિ લીધા પછી પણ, અને તેમના પછી પણ અનેક ઉત્તમ ક્રિકેટરો આવતા રહ્યા છતાં પણ, સોબર્સની પ્રસિદ્ધિ અકબંધ રહી છે. દુનિયાના દરેક ક્રિકેટરનું સ્વપ્નું રહ્યું હશે કે તે એકવાર સોબર્સને મળે. એટલે જ તેમની વિદાય, ઉમર સહજ હોવા છતાં, બધાને આંચકો આપી ગઈ.

    સોબર્સને રમતા જોવા એ એક લહાવો હતો. તેમણે અનેક રેકર્ડઝ કર્યા છે. તેમને આઉટ કરવા એ દરેક બોલર માટે એક પડકાર હતો. જયારે પણ કોઈ આઉટ થયા પછી તેઓ મેદાન પર આવે ત્યારે સામી ટીમના છક્કા છૂટી જાય અને પ્રેક્ષકોનાં મન આનંદથી છલકાઈ જાય કે હવે ક્રિકેટ જોવાની મજા આવશે. અમારી પેઢીએ આ મજા ભોગવી છે.

    તે સમયે વિશ્વમાં બે ટીમ શ્રેષ્ઠ હતી: વેસ્ટ ઇન્ડીઝની અને ઓસ્ટ્રેલિઆની. આ બે ટીમ સામે જીતવું એ લોઢાંના ચણા ચાવવા જેવું મનાતું. બનેના અગિયારે અગિયાર ખેલાડી, ભલે કોઈ બોલર હોય, ઉત્તમ બેટ્સમેન હતા. વેસ્ટ ઇન્ડીઝના તો પહેલા બે બેટ્સમેન વોલ અને વોલ્કોટ આવે કે સામી ટીમને મૂંઝવણ થાય કારણ કે આ બે ને જ આઉટ કરવા મુશ્કેલ ! કદાચ તેમાંથી એક આઉટ થાય તોપછી સોબર્સ આવે. તેને આઉટ કરવા તો વળી તેનાથી પણ અઘરું. કદાચ એક આઉટ થાય તો રોહન કન્‍્હાઈ આવે. બાપ રે ! ખતરનાક બેટ્સમેન. પછી આવે કેપ્ટન એલેક્ઝાનડર ( ટીમના એક માત્ર ગોરા ખેલાડી) અથવા વોરલ.( પછીના કેપ્ટન) ભાગ્યે જ આખી ટીમને આઉટ કરી શકાય. એવા જ તેના બોલર. વેસ્લી હોલ. ગીલક્રિસ્ટ-ભયંકર ફાસ્ટ બોલરો. હોલ તો વળી ત્રીસ ચાલીસ પગલાની રનીંગ લે. પાછા છ ફીટથી વધારે ઊંચા. દોડતા હોય ત્યારે જ બેટ્સમેનને પરસેવો વળે. એવા જ સ્પિનર બોલર. સામી ટીમ મોટા ભાગે હારે જ !

    એવી જ ઓસ્ટ્રેલીઆની ટીમ. રીચી બેનો, નીલ હાર્વે, લીન્ડવોલ, ગ્રાઉટ, ડેવિડસન – એક એકથી ચડિયાતા. અને તેમાં જો આ બે ટીમ સામસામી આવે, તો તો પ્રેક્ષકો માટે આહાહા ! જલસો પડીજાય.

    તેમની બે મેચો આજે પણ ક્રિકેટના ઈતિહાસમાં અમર છે. એક મેચમાં પાંચમા દિવસની છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલીઆના છેલ્લા બેટ્સમેન હતા અને એક ફોર મારે તો મેચ જીતી જાય. હોલના પ્રથમ પાંચ બોલ રમી ન શક્યા. છઠ્ઠો બોલ હોલે નાખ્યો. બેટ્સમેને ઝનૂનથી ફોરનો ફટકો માર્યો-ડ્રાઈવમાં. બને દોડવા માંડયા. આ બાજુ હોલ બોલ પાછળ પડ્યો અને બરાબર ફોર પાસે બોલને પકડી લીધો અને ફોર થવા ન દીધી. બીજી બાજુ બેટસમેનોએ ત્રણ રણ પુરા કર્યા અને ચોથો રન દોડવા લાગ્યા. હોલે બોલ ફેંક્યો અને બેટ્સમેન અર્ધે રસ્તે હતા ત્યાં બોલ સ્ટમ્પને વાગ્યો અને તે આઉટ થઇ ગયા. મેચ “ ટાઈ” ગઈ. તે પળે જે મેદાનમાં કે ત્યારે રેડીઓ પર સંભાળનારાઓમાં ભયંકર ઉશ્કેરાટ હતો તેની આજે તો કલ્પના પણ ન કરી શકાય. ઓસ્ટ્રેલીઆના કેપ્ટન રીચી બેનોએ માથું કુટ્યું. ! એના પછીની મેચમાં ઓસ્ટ્રેલીયાના નવ બેટ્સમેન આઉટ થયા ત્યારે લગભગ સોથી વધારે રન કરવાના બાકી હતા. ચોથા દિવસનો ટી ટાઈમ હતો. વેસ્ટ ઇન્ડીઝને ખાતરી કે સાંજ સુધી તેઓ જીતી જશે કારણ કે એ છેલ્લી જોડી બંને બોલર હતા. પણ આ બેટ્સમેન પછીનો બધો સમય રમ્યા. એક પણ રન ન કર્યો, પણ આઉટ ન થયા. છેલ્લા દિવસે પણ તેઓ આખો દિવસ એક પણ રન કર્યા વિના રમતા રહ્યા, પણ આઉટ તો ન જ થયા. મેચ ડ્રો ગઈ. વોરલ રડી પડ્યા.

    ત્યારે ટી.વી. ન હતું. ફિલ્મોમાં માહિતી ખાતાના સમાચારોના રીલ બતાવતા તેમાં  આ મેચો બતાવતા. જયારે બતાવવાના હોય ત્યારે ખાસ જાહેરાત થતી કે આજે મેચ બતાવશે. અને બધા શોખીનો ગમે તે ફિલ્મ હોય, જોવા જતા જ. મોટા ભાગના તે જોઈ બહાર ચાલ્યા જતા. ફિલ્મ ન જોતા. ( ફિલ્મ હાતિમતાઈ જેવી હોય !) પણ બધા કામ છોડી આ મેચો જોવા તો જતા જ.

    મજાની વાત એ છે કે ત્યારે ભારતની ટીમમાં પણ એક એકથી ચડિયાતા ખેલાડી હતા.  અમરનાથ, વિજય મર્ચન્ટ, વીનું માંકડ, ઉમરીગર, રામચંદ, દતુ ફડકર, રમાકાંત દેસાઈ, ચંદુ બોર્ડે, નાડકર્ણી વગેરે. ત્યારે તો વર્ષે એકાદ બે મેચો રમાતી, છતાં માંકડે ત્યારે ૨૦૦૦ રનમાં ૨૦૦ વિકેટો લીધી હતી. ઈંગ્લેન્ડના રાણી માંકડની મેચ જોવા ખાસ આવતાં. કદાચ એટલે જ માંકડને તેમણે જ “નાઈટહૂડ “ ખિતાબ આપેલો. અને મજાની વાત એ છે કે ત્યારે ભારતની ટીમ સતત હારતી જ ! ખબર નહિ, પણ રમતી જ “ડીફેન્સીવ” રમત. છેક ૧૯૬૦ આસપાસ કાનપુરની એક મેચમાં જશુ પટેલે દસ વિકેટ લીધેલી ત્યારે કદાચ જીતવાની શરૂઆત થયેલી એવું યાદ છે.

    કાયદેસર જીતવાની શરૂઆત પટીડીએ કરેલી. અને દરેક ખેલાડીની કોઈને કોઈ ખાસિયત રહેતી. નાડકર્ણીની બોલીંગમાં ભાગ્યે જ કોઈ રમી શકતા. તેમની બોલિંગ આવી હોય : ૨૯ ઓવર, ૨૮ મેઈડન, શૂન્ય રન અને નો વિકેટ ! મેચ કંટાળાજનક બની જતી. તો નીલ હાર્વે જેવો અદભુત બેટ્સમેન રમાકાંત દેસાઈની બોલિંગથી ગભરાતો. માંકડ અને પંકજ રોયની પ્રથમ વિકેટની ભાગીદારી ૪૧૩ રને એક વિકેટ વર્ષો સુધી ઐતિહાસિક રહી હતી. લીન્ડવોલ જબરો ફાસ્ટ બોલર હતો. બહુ ઓછા તેના સામે રમી શકતા. એક વાર માંકડ સામે તે બોલિંગ કરતા હતા. એક બોલ એવો આવ્યો કે માંકડ પણ મૂંઝાઈ ગયા. તે તરત લીંડવોલ પાસે ગયા અને તેને ઉત્તમ બોલ માટે અભિનંદન આપ્યા. સાથે આવો બોલ કેમ ફેંક્યો તે પણ પૂછ્યું અને “ભોળા” લીંડવોલે કહી દીધું. પછી તો માંકડે તેના દડાઓને જે ફટકાર્યા છે તે જોઈ લીંડવોલને રહસ્ય કહેવા બદલ ખૂબ અફસોસ થયો હશે. આવા તો અનેક અદભુત બનાવો ત્યારે ક્રિકેટમાં બનતા.

    અને મજાની વાત એ છે કે એક એકથી ચડીયાતા ખેલાડીઓ હતા. ત્યારે, અભાવો વચ્ચે, વિશ્વ રેકોર્ડ કરતા હતા, છતાં તેમને રમવાના ભાગ્યે જ ૩૦૦ રૂપિઆ મળતા હતા. અને વર્ષમાં બે ત્રણ મેચ જ હોય. પરિણામે આ બિચારાઓને નોકરી કરવી પડતી ! તેની તુલનામાં આજના ક્રિકેટરો ધનમાં આળોટે છે.

    ગાવસ્કર જેવો સક્ષમ ક્રીકેટર પણ નીર્લોનમાં નોકરી કરતો. અને ત્યારે તો ફાસ્ટ બોલિંગ સામે કોઈ જ રક્ષણ ન હતું. એક મેચમાં ભારતના નરી કોન્ટ્રાકટરને એક ફાસ્ટ બોલરનો બોલ માથામાં એવો તો વાગેલો કે તેની કારકિર્દી રોળાઈ ગઈ. હોલ કે લીંડવોલ જયારે બમ્પર બોલ નાખે ત્યારે બેટ્સમેન માટે રમવા કરતા તે બોલ માથામાં વાગી ન જાય તેની વધારે ચિંતા કરાવી પડતી.

    ત્યારે મજા શું હતી કે મેચો વર્ષમાં બે ત્રણ વાર જ રમાતી, એટલે તે બાબતે જિજ્ઞાસા જીવતી રહેતી. આજે તો રોજ રમાય છે એટલે હવે તેની “થ્રિલ” ઓછી થઇ ગઈ છે. જે વસ્તુ વારંવાર મળે તેનું મહત્વ ઓછું થઇ જાય. ત્યારે બધી મેચો પાંચ દિવસ જ રમતી. આજે તો વીસ ઓવર પણ હવે વધારે લાગે છે. “સ્લો”માં જે “શ્રિલ” હતી તે આજે “ફાસ્ટ”માં જોવા નથી મળતી.

    હવે તો ખેલાડી કેટલા કમાય છે તેમાં જ તેને અને બધાને રસ છે. રમત અને જાહેરાતમાં કરોડોના ખેલ થાય છે. મેચો પણ “ફિક્સ્ડ” થાય છે. પરિણામે આજે તેમની “આભા” ઊભી નથી થતી. તેઓ ખેલાડી કરતા વેપારી વધારે લાગે છે. એટલે ભલે આજના ખેલાડીઓને પણ રમતા જોવા ચોક્કસ ગમે છે, પણ જયારે સોબર્સ કે માંકડ જેવા ખેલાડીઓને યાદ કરીએ છીએ, ત્યારે વિશેષ આનંદ થાય છે.

    સોબર્સના નિમિતે એક સુવર્ણયુગમાં લટાર મરાવી દીધી. એક વિશેષ થનગનાટ અનુભવાયો.

    સોબર્સને આદરપૂર્વક સલામ.


    ( કચ્છમિત્ર : તા; ૨-૮-૨૬ : રવિવાર )


    હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ  રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com