પિતૃસત્તાક સમાજમાં મહિલાને માણસ નહીં વસ્તુ માનવામાં આવે છે. પુરુષો માટે મહિલાઓ જાણે કે છોકરાં જણવાનું મશીન છે. ભારતમાં વસ્તી નિયંત્રણનો બોજ પણ મહિલાઓના માથે થોપી દેવામાં આવ્યો છે. સરકારો પણ પરિવાર નિયોજનના લક્ષ્યાંકો પૂરા કરવાની જવાબદારી મહિલાઓના માથે ઢોળે છે. અસલામત અને ખતરનાક પરિસ્થિતિઓમાં મહિલાઓના શરીરને વસ્તી નિયંત્રણના સાધન તરીકે ઉપયોગ કરીને તેમના પર પરિવાર નિયોજનની સર્જરી કરવામાં આવે છે. ભારતના બંધારણે તો શું સ્ત્રી કે શું પુરુષ સૌને સમાન લેખ્યા છે પરંતુ વાસ્તવિકતા જુદી છે. સ્ત્રીઓની આ હાલતમાં બંધારણીય જોગવાઈઓ અને તેને વશવર્તી અદાલતોના ચુકાદા તેમની સમાનતાનું સમર્થન કરે છે ત્યારે આશ્વસ્ત થવાય છે. સંવિધાન અને કોર્ટો સ્ત્રીઓની પ્રજનન સ્વાયત્તતા સ્થાપિત કરે છે. મહિલાઓને તેમનાં શરીર અને પ્રજનન સંબંધી નિર્ણય, સ્વતંત્રપણે તેમજ કોઈની ય દખલ વિના લેવાનો પૂર્ણ અધિકાર છે. બંધારણના આર્ટિકલ ૨૧થી આ અધિકાર સંરક્ષિત છે.
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
કર્ણાટક હાઈકોર્ટે એક દુર્લભ કેસમાં મહિલાના સર્વોત્તમ હિતમાં ચુકાદો આપી ફરી એક વાર ન્યાયની આશા જગવી છે. સંપૂર્ણ પરાવલંબી ૨૩ વર્ષીય એક યુવતી ગંભીર માનસિક અને વિકાસાત્મક અક્ષમતાઓ ધરાવે છે. તેમની વય તો ૨૩ની છે પરંતુ બુધ્ધિ અને શરીરની વય માંડ પાંચ વરસની છે. ૭૫ ટકા કાયમી વિકલાંગતા ધરાવે છે. ૧૩ વરસથી ખેંચ અને વાઈની દવા પર નભે છે. સેરેબ્રલ પાલ્સીપીડિત યુવતી ઉમરના પ્રમાણમાં શરીર અને બૌધ્ધિક ક્ષમતાએ અવિકસિત છે. દર મહિને તેને માસિક તો આવે છે. પન તેની સ્વચ્છતાની તેને કોઈ સમજ નથી. તેને કારણે તેના શરીરમાં ચેપ લાગે છે અને આરોગ્ય વિષયક ગંભીર સમસ્યાઓ પેદા થાય છે. તેના માતા-પિતા અને વાલી તેની સંભાળ તો બહુ રાખે છે પરંતુ કેટલીક બાબતો સંભાળવી તેમના માટે પણ બહુ મુશ્કેલ છે.
શારીરિક-માનસિક રીતે અવિકસિત અને અક્ષમ આ યુવતીના ગર્ભાશયને જો સર્જરી દ્વારા કાઢી નાંખવામાં આવે તો, તેને માસિકને કારણે દર મહિને જન્મતી પીડા અને આરોગ્યની સંભાળમાંથી છૂટકારો આપી શકાય. આ માટે તેમણે અદાલતના દરવાજા ખટખટાવ્યા હતા. વ્યક્તિ સ્વયં તેના આરોગ્ય સંબંધી નિર્ણય લેવા સક્ષમ ન હોય ત્યારે માતા, પિતા, વાલી અને તબીબો કોર્ટ સમક્ષ અરજ કરે છે. આવા અક્ષમ વ્યક્તિના સંરક્ષકની ભૂમિકા રાજ્ય અને અદાલતોની છે. તબીબી વિજ્ઞાનનો નિયમ તો દર્દીને સર્જરીના હેતુ, લાભાલાભ અને જોખમ સમજાવી તેની લેખિત સંમતિ મેળવવાનો છે. .પરંતુ દર્દી ખુદ આ માટે અક્ષમ હોય તો તે કામ તેના વાલી-વારસોએ કરવું પડે છે. માનસિક વિકલાંગ મહિલાઓના ગર્ભાશય બળજબરીથી કાઢી નાંખવામાં આવે છે એટલે પણ કડક કાયદાકીય જોગવાઈઓ કરવી પડી છે. RAIGHT OF PERSONS WITH DISABILITIES ACT, 2016ની એક કલમમાં વિકલાંગ વ્યક્તિની સહમતિ વિના તેની પ્રજનન ક્ષમતાને કાયમી અસર કરે તેવી સારવાર કે સર્જરી તેની સહમતિ વિના ન કરવાની જોગવાઈ છે.
બંધારણીય જોગવાઈઓ, કાયદાની કલમો અને વકીલોની દલીલો પરથી હાઈકોર્ટે ટોટલ એબ્ડોમિનલ હિસ્ટેરેક્ટોમી (પેટ ચીરીને ગર્ભાશય કાઢવાની શસ્ત્રક્રિયા) ની મંજૂરી આપી છે. અદાલતે આ માટે બહુ વિષયક નિષ્ણાતોના મેડિકલ બોર્ડની રચના કરી તેમનો અભિપ્રાય મેળવ્યો હતો. જસ્ટિસ સૂરજ ગોવિંદરાજે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે મહિલાના સર્વોત્તમ હિત, લાંબાગાળાના કલ્યાણના રક્ષણ, સલામતી, તેના આરોગ્ય અને ગરિમા માટે આવશ્યક હોઈ આ અનુમતી આપી છે. આ ચુકાદો માત્ર એક વ્યક્તિના હિતનો નથી તે દૂરોગામી અસરો પણ જન્માવશે.
સામાન્ય રીતે માનસિક વિકલાંગ મહિલાઓના ગર્ભાશય નાબૂદીના નહીં પણ તે યૌન હિંસાનો ભોગ બની ગર્ભવતી બની હોય તો ગર્ભપાતના ન્યાયિક વિવાદના કેસો અદાલતો સમક્ષ વધુ આવે છે. ૨૦૨૪માં ગુજરાતની વડી અદાલતે માત્ર ૧૫ વરસની માનસિક વિકલાંગતાગ્રસ્ત આદિવાસી છોકરીને ૨૮ સપ્તાહના ગર્ભપાતની અસાધારણ સંજોગોમાં મંજૂરી આપી હતી. ૨૦૦૯ના સુચિતા શ્રીવાસ્તવ વિરુધ્ધ ચંદીગઢ પ્રશાસનના કેસમાં નજીવી માનસિક વિકલાંગ બળાત્કારપીડિતાએ ગર્ભમાં રહેલા બાળકને રાખવાની પસંદગી કરતાં સર્વોચ્ચ અદાલતે તેની પસંદગી માન્ય રાખી હતી. ૨૦૨૦માં ઓડિસા હાઈકોર્ટે તબીબી જોખમના અહેવાલના આધારે બળાત્કારપીડિતાને ૨૪ અઠવાડિયાના ગર્ભને સમાપ્ત કરવાની મંજૂરી આપી નહોતી. પરંતુ તેની દેખભાળ અને વળતર સુનિશ્ચિત કર્યા હતા. આ ચુકાદાઓ મહિલાઓને શરીર સંબંધી નિર્ણય લેવામાં સ્વતંત્રતા અને સ્વાયત્તતા આપે છે.
ઘણીવાર સમાજના આર્થિક સામાજિક નબળા વર્ગની મહિલાઓના ગર્ભાશય બળજબરીથી કાઢી નાંખવાના બનાવો બને છે. મહારાષ્ટ્રમાં માસિક અને અન્ય તકલીફોને કારણે મહિલાઓને શેરડી કામદાર તરીકે કામે રાખતા નહોતા તેથી આશરે ૧૩,૦૦૦ મહિલાઓના ગર્ભાશયો કાઢી નાંખવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં માસિક સંબંધી શારીરિક તકલીફોના ઈલાજ મટે ગયેલી આદિવાસી મહિલાઓના ગર્ભાશયો કાઢી નાંખવામાં આવ્યા હતા. તેનું કારણ તેઓ મજૂરીમાંથી હવે રજા ન લે તે હતું. મહિલાઓની પરિવાર નિયોજન શસ્ત્રક્રિયામાં પણ તેમની સાથે બળજબરી થાય છે કે અસલામત વાતાવરણમાં સર્જરી થાય છે. આ પ્રકારની સ્થિતિમાં મહિલાને તેના અધિકારો માટે ખબર હોતી નથી અને સરકારી તંત્ર તેમના પર બળજબરીથી નિર્ણયો થોપે છે અને નસબંદીના લક્ષ્યાંકો ઉંચા દર્શાવે છે.
મધ્યપ્રદેશમાં બે વરસ પહેલાં પરણેલું એક શ્રીમંત દંપતિ કોઈ મુદ્દે વિવાદ થતા છૂટું પડ્યું. એકલી રહેતી પત્નીના ગર્ભમાં બાળક હતું.પરંતુ તે ૧૩ મહિનાના ગર્ભનો નિકાલ કરવા માંગતી હતી. પતિ તે માટે સંમત નહોતો. આ બાબતે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે ગર્ભ રાખવા ના રાખવાની સંપૂર્ણ ઈચ્છા મહિલાની છે અને તેમાં પતિની દખલ પણ સ્વીકાર્ય નથી તેમ કઃઈ ગર્ભપાતની મંજૂરી આપી હતી. કલકત્તા હાઈકોર્ટે ૪૯ વરસના પત્ની અને ૫૭ વરસના પતિને આઈવીએફથી બાળક મેળવવાની મંજૂરી આપી હતી. પતિ-પત્નીની વધુ ઉંમર અને પતિની ઉમર તો આઈવીએફથી બાળક મેળવવાની મહત્ત્મ ઉમર ૫૫ વરસને વટાવી ગયાની દલીલ કરીને હોસ્પિટલે મની સારવારનો નન્નો ભણ્યો હતો. પરંતુ વડી અદાલતે મહિલા ગર્ભ ધારણ કરવા શારીરિક રીતે સક્ષમ હોઈ તેને પ્રજનનના અધિકારથી વંચિત રાખી શકાય નહીં તેમ જણાવી મંજૂરી આપી હતી.
બંધારણીય જોગવાઈઓ અને અદાલતોના ઉદાર તથા પ્રગતિશીલ વલણને જરૂર આવકારીએ, વખાણીએ. પરંતુ સમાજનું વલણ તો રૂઢિચૂસ્ત જ છે. માતૃત્વ, પ્રજનન, ગર્ભપાત અને સ્ત્રીના શરીર સંબંધી નિર્ણયોનો અધિકાર કાં તો ઘરના વડીલો કે પતિને જ હોય તેમ સમાજ વર્તે છે. બહુ થોડા લોકો પોતાના અધિકારો માટે અદાલતો પાસે જઈ શકે છે. એટલે પ્રગતિશીલ કાયદાકીય જોગવાઈઓ સાથે સમાજનું પિત્રુસત્તાક માનસ બદલાય તો જ મહિલાઓને તેમના ઉચિત હક મળી શકે.
દિવસો, મહિનાઓ, વર્ષો પસાર થયે રાખે છે. મોબાઇલ પર જ તારીખ-વાર જોવાની ટેવ પડી છે એટલે ઘરમાં કેલેન્ડરનું અસ્તિત્વ પણ નામશેષ થવા માંડ્યું છે.
એક સમય હતો જ્યારે અંગત સ્નેહી-સંબંધીઓ અને મિત્રોનાં ટેલિફોન નંબર સૌને યાદ રહેતાં. ‘મોબાઇલ આવ્યા પછી પહેલાંની જેમ હવે ફોનનાં નંબર યાદ નથી રહેતા. જન્મદિને શુભેચ્છા પાઠવવા માટે મોબાઇલમાં રિમાઇન્ડરની સગવડ છે એટલે જન્મદિનની તારીખો નથી યાદ રહેતી’ એવી સ્મૃતિ-વિસ્મૃતિની વાતો પણ થતી રહે છે.
તેમ છતાં એવી અનેક વ્યક્તિઓ છે જે અંગત નથી છતાં ખાસ છે, એમનાં જન્મદિને કે પુણ્યતિથિએ સૌ એમને યાદ કરે જ છે અને અચૂક સ્મરણાંજલિ આપે જ છે. એવો ખાસ દિવસ એટલે કે ૨૧ જુલાઈ અને આવી ખાસ વ્યક્તિઓ એટલે જેમના નામ વગર ગુજરાતી કવિતા અધૂરી કહેવાય એવા કવિ શ્રી ઉમાશંકર જોશી અને ગુજરાતી સુગમ સંગીતની ઇમારતના પાયા જ નહીં આખેઆખી ઇમારત જ કહી શકાય એવા સન્માનીય ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસ.
૨૧ જુલાઈ ૧૯૧૧ના દિવસે શ્રી ઉમાશંકર જોશીનો જન્મ થયો અને એક વર્ષ પછી ૧૯૧૨ની ૨૧મી જુલાઈએ જન્મ થયો શ્રી અવિનાશ વ્યાસનો.
અન્ય માટે કદાચેય આ દિવસ એક સામાન્ય દિવસની જેમ પસાર થઈ ગયો જશે, પરંતુ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સુગમ સંગીતના ચાહકો માટે તો આ દિવસે સુવર્ણ અક્ષરે બે નામ લખાઈ ચૂક્યા હતા.
૨૧ જુલાઈ ૧૯૧૧ અને ૨૧ જુલાઈ ૧૯૧૨ એટલે કે એક વર્ષના અંતરે ગુજરાતની ભૂમિ પર એવી બે વ્યક્તિઓનો જન્મ થયો જે સમયાંતરે વ્યક્તિવિશેષ તરીકે અત્યંત નામના પામ્યા.
આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાના પદો, અખાના છપ્પા, કબીરના દોહા, મીરાંભાઈના ભજનોથી માંડીને આજ સુધી આપણે પણ કેટકેટલાં ગીતો, કાવ્યોને આસવાદ્યા હશે. અનેકવિધ રચનાઓ સાંભળી હશે, માણી હશે, પણ આજે એક વાત નિશ્ચિતપણે કહી શકાય કે શ્રી અવિનાશ વ્યાસે સુગમસંગીતની એક એવી અનોખી રીત આપણને આપી જેનાથી એ આજે પણ એ ચિરસ્મરણીય બની રહ્યા છે.
આવા ચિરસ્મરણીય ગીતકાર-સંગીતકારે એક અનોખું સપનું સેવ્યું હતું.
શ્રી અવિનાશ વ્યાસને અમદાવાદ કે અમદાવાદની નજીક એક એવી સંગીતની સંસ્થા, સંગીતની ઈમારત બનાવવાની ઇચ્છા હતી જ્યાં સંગીતની તમામ સવલતો હોય. જ્યાં ચોવીસ કલાક સંગીત ગુંજતું હોય. સંગીતની તાલીમ અપાતી હોય અને સતત સંગીત વહેતું હોય એવા સાધનાભવનનું સર્જન કરવું. એમણે એવી ઇમારતનો કૉન્સપ્ટ પણ તૈયાર કરાવેલો જેમાં તબલાં અને વચમાં વીણા હોય. અંદર ઑડિટોરિયમ હોય, મ્યુઝિકરૂમ હોય, રિહર્સલ કરવાની સવલત હોય. કોઈ પણ સંગીતકાર કે કવિનું જીવન ધન્ય થઈ જાય એવું સપનું એમણે સેવ્યું હતું. એ સ્વપ્નની ઇમારતનું નામ આપ્યું હતું- ‘નાદબ્રહ્મ’.
સંગીતનું એ સાધનાભવન ‘નાદબ્રહ્મ’- અવિનાશ વ્યાસનું એક એવું સ્વપ્ન હતું જેમાં સાવ અનોખી ઈમારતની રચનાની વાત હતી.
આજે એમના આ સ્વપ્ન ઇમારત- ‘નાદબ્રહ્મ’ની વાત થઈ રહી છે ત્યારે એક રચના યાદ આવે છે જાણે સ્વપ્નદ્રષ્ટા એટલે કે ભવિષ્યની કલ્પના કરનાર એક દ્રષ્ટાની નજરે જે જોયું કે વિચાર્યું એની શાબ્દિક રજૂઆત છે જેમાં નાદબ્રહ્મને -નાદરૂપી પરમતત્વને આ ચારેકોર વેરાયેલા વિવાદ, વિખવાદ, વ્યથાની આંધી દૂર કરવા પ્રગટ થવાની પ્રાર્થના છે.
“હે નાદબ્રહ્મ જાગો….
આજ વિશ્વ વાદ અને વિવાદથી અશાંત છે,
ને સૂનું જગત, દેશ-દેશ પ્રાંત પ્રાંત છે,
વ્યોમ-વ્યોમને બતાડું મધુર બીન વાગો.”
અવિનાશ વ્યાસ કોઈ ભવિષ્યવેત્તા કે નજૂમી નહોતા. એ હતા માત્ર ઋજુ હૃદયના, અત્યંત સંવેદનશીલ વ્યક્તિ. છતાં એમણે જે વાત કે વ્યથા આ રચનામાં વણી છે એ જાણે -અજાણે આજે આપણી નજર સમક્ષ દેખાઈ રહી છે. એમની વ્યથા આજની આપણી કથા બની ગઈ છે. ચોમેર વાદ-વિવાદ અને વિખવાદ વેરાયેલો છે. વિશ્વ આખું અશાંત છે. એકમેકને નાથીને સત્તા આંચકી લેવા યુદ્ધ છેડાય છે અને વિનાશ વેરાય છે.
આવા સમયે આજે આપણે પણ સૌ ખરા ભાવથી આપણી ભાવટ ભાંગવા ઈશ્વર અવતાર ધરે એવી પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થનાનો સૂર અવિનાશ વ્યાસની આ રચનામાં પડઘાતો સંભળાય છે.
ફરી કૃષ્ણ તણી બંસરી લઈને આવો,
ફરી એક તાર, એક પ્રાણ સકળમાં જગાવો,
હે આદ્ય ષડજ દેવ, વિશ્વનો વિવાદ ભાંગો,
ગર્જાવો શંખનાદ, ગર્જાવો શંખનાદ,
શમી જાય આ વિખવાદ, ગર્જાવો આ શંખનાદ,
એવો રાગ ગાય જગત પ્રગટે અનુરાગો,
હે નાદબ્રહ્મ જાગો…….
વિશ્વના ખૂણે ખૂણેથી અવાજ ઉઠ્યો છે. એક એવા બુલંદ શંખનાદની જરૂર છે જે ચારેકોર ઉમટેલા કોલાહલને શમાવે, સમસ્ત જગતનું ચેતન જગાવે. આજે બંસરીના એક એવા સૂરની જરૂર છે જેનાથી પ્રાણતત્વના, આપણી ચેતનાના તાર રણઝણી ઉઠે. વિખવાદના સૂરને અનુરાગના, પ્રેમના કોમળ સ્વરમાં પલટાવે.
કોઈ કોમળ, સંવેદનાથી છલોછલ હૃદયની વ્યક્તિ જ્યારે નાદબ્રહ્મને જગાવે ત્યારે તો એ પરમતત્વને જાગવું પડશે ને?
સાંભળ્યું છે કે, ગત વર્ષે પ્રધાનમંત્રીજીએ મનમંદિર ટ્રસ્ટને આપેલી જમીન પર ‘નાદબ્રહ્મ’ આર્ટ સેન્ટર બની રહ્યું છે. આધુનિક સુવિધા ધરાવતા આ આર્ટ સેન્ટરમાં સંગીત, નૃત્યની તાલીમ માટે બારથી વધુ વર્ગખંડ, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે પાંચ પર્ફોર્મિંગ સ્ટુડિયો, એક ઓપન થિયેટર, સુંદર બગીચો, આઉટડોર મ્યુઝિકલ ગાર્ડન, આધુનિક પુસ્તકાલય અને સંગીતના ઇતિહાસને દર્શાવતું મ્યુઝિયમ પણ હશે. નજીકના ભવિષ્યમાં, ‘નાદબ્રહ્મ’ કલાકેન્દ્ર સંગીત ક્ષેત્રની પ્રવૃત્તિઓ માટે વિશેષ કેન્દ્ર તરીકે સેવા આપશે. ભારતીય સંગીત કળાનું તમામ જ્ઞાન આ ઇમારતમાં ઉપલબ્ધ થશે.
આશા રાખીએ કે, આ ‘નાદબ્રહ્મ’ કલાકેન્દ્ર થકી અવિનાશ વ્યાસની કલ્પનાને સાકાર થાય તેમજ વિશ્વ આખાયમાં અનુરાગનો અવાજ ગુંજે..
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
તા. ૧-૧૧-૯૧:- આજે અમે કાંઇ જોવા ગયા નહોતા. આજ દીવાળી હતી. દીવાળીનો મહિમા આ દેશમાં ઘણો જ થોડો છે.
૨. દીવાળી હોવાને લીધે આજ કાંઈક ગમ્મત કરવાને અને અહીંનું ગાયન કેવું હશે તે જીજ્ઞાસાથી આજ રાતે અમે ચાર ગવૈયા બોલાવ્યા. તેઓ આવ્યા ત્યાર પહેલાં અમે વાળુ કરી લીધું હતું. અમે એક ઢોલિયા પર બેઠા અને તેઓ ગાવા લાગ્યા. તેઓ શું ગાય છે તે અમે જરા પણ સમજી શક્યા નહિ. તેઓની પાસે તીવ્ર અને ઝીણા અવાજનાં રાવણહથ્થા જેવાં વાજાં હતાં. તેઓ મોટે સાદે ગાતા હતા. તે વખતે, યમરાજના દૂતોનું ભાન થતું હતું, કેમ કે, તેઓ ઘણાજ કદાવર હતા અને તેઓનો અવાજ ઘેરો હતો. થોડો વખત આ કાશ્મીરી ગાયન સાંભળી અમે સૂઈ રહ્યા.
તા. ૨-૧૧-૯૧:- આજ બેસતા વર્ષનો તહેવાર હતો તેથી અમે સૌ વહેલા ઊઠ્યા. ગંગરી અથવા નાની સગડી છાતી આગળ રાખી ઉતાવળથી નિત્ય કર્મ કરવા લાગી ગયા.
અગિયાર વાગે કાશ્મીરના રેસીડંટ કર્નલ પ્લિડોને મળવા ગયા. તે ઘણા જ વૃધ્ધ ને ભલા માણસ છે. અમને શ્રીનગરની કેટલીક સુંદર જગ્યાઓ બતાવવામાં રેસિડન્સી વકીલ લાલા જયકિસનદાસ મદદ આપશે એમ રેસિડેન્ટે કહ્યું. વાઈસરૉય પાંચમી તારીખે શ્રીનગર આવવાના હતા, તેથી એમની મુલાકાત લેવા અમારો વિચાર થયો. રેસીડેન્ટને અમારી આ ઇચ્છા જણાવી તેથી તેણે કહ્યું કે વાઇસરૉયના ફોરિન સેક્રેટરી સર ડ્યુરેંડ તે ગોઠવણ કરી આપશે. રેસિડંટની રજા લઇ તુરત જ લાલા જયકિસનદાસ મારફત સર ડ્યુરેંડને મળવાનો વખત પૂછાવ્યો. અમે અમારી કિસ્તી સુધી નહોતા પહોંચ્યા તેટલા વખતમાં લાલા જયકિસનદાસે આવી કહ્યું કેઃ સર ડ્યુરેન્ડ સાહેબ હમણાં જ મુલાકાત લેશે. તેથી અમે જ્યાં તેઓ ઊતર્યા હતા ત્યાં ગયા. થોડા જ વખતમાં તેઓ આવ્યા. વાઈસરૉયની મુલાકાત વિષે પૂછતાં એમણે કહ્યું કે ‘હું એઓ સાહેબને પૂછી જોઈશ. પછી કેટલીક વાતચીત કરી અમે રજા લીધી, ઉતારે આવ્યા અને જમ્યા.
અમે દૂધ લેવા એક માણસ મોકલતા હતા. તે માણસ દૂધ દોવરાવતી વખત ગાય પાસે જ રહેતો છતાં દૂધ પાતળું આવતું. આમ થવાનું કારણ થોડો વખત અમે સમજી શક્યા નહિ. પણ પછી માલૂમ પડ્યું કે, ગૌલી દોતી વખત એક ચામડાની નળી જભ્ભા નીચે રાખે છે. તેમાં પાણી ભરી રાખે છે અને દોતી વખત આ નળીના મોંમાંથી થોડું થોડું પાણી ઠામમાં જવા દે છે.
અહો ! અસંતોષ અને લોભ માણસને કેવાં નીચ કૃત્યો શીખવે છે !’[૧] લાલચી માણસની બુધ્ધિ કેવી ભ્રષ્ટ થઇ જાય છે! દ્રવ્યની લાલસા મનુષ્યના બ્રહ્મતુલ્ય શુધ્ધ ચેતન આત્માને કેવો તુચ્છ બનાવી દે છે! સ્વાર્થ અંતઃકરણને કેવું અશુદ્ધ કરી નાખે છે! હૃદય અનીતિથી કેવું ભ્રષ્ટ અને અવિચારી બની જાય છે! નીતિનો માર્ગ એક વખત જ જરા પણ ઉલ્લંઘન કર્યા પછી માણસની કેવી પશુવત્ સ્થિતિ થઈ જાય છે! એક દુષ્ટ કૃત્ય સિદ્ધ કરવા બીજાં હજાર પાપ કરવાં પડે છે. આ ક્ષણભંગુર દેહને બહુ જ થોડું જોઈએ છીએ, છતાં ઇંદ્રિય સુખની તૃષ્ણામાં લપટાઈ જઈ માણસ શું શું કૃત્ય ન કરે! આ એક ધન લોભી માણસ શું નહિ સમજતો હોય કે બીજાને છેતરવા જતાં હું જ છેતરાઉં છું! ઈશ્વરનો ગુનેહગાર થાઊં છું! મારી સાખ હલકી થવાથી મને અતિશય નુકસાન થાય છે! તેની ચોરી પકડાઈ ત્યારે પણ તેને પોતાનાં આવાં કપટી કર્મનો ત્યાગ કરવાની શું ઇચ્છા નહિ થઇ હોય ? ખરેખાત, તેને પણ સ્મશાન વૈરાગ્ય થયો હશે જ, પણ એ ક્યાં સુધી? દુરાચરણથી પેટ ભરનારા ક્ષુદ્ર જનોને વળી કર્તવ્ય શું અને અકર્તવ્ય શું!
સાંજે અમે બહારશાહ અને સમદશાહની દુકાને કાશ્મીરી પશમીના અને શાલો જોવા ગયા. આ શાલો એવી તો ટકાઉ અને સુંદર બને છે કે તેની જોડ સૃષ્ટિમાં બીજે ક્યાંય છે જ નહિ. ક્યાં આ જંગલી દેશ અને ક્યાં આ અલૌકિક કારીગીરી! ઉદ્યોગ શું ન કરે! પ્રયત્નથી પશુ પક્ષીઓ પણ સારૂં કામ કરે છે તો આ જંગલી કાશ્મીરનાં માણસો આવું કામ કરે તેમાં શી નવાઈ! હે હિંદુસ્તાન ! તારી કારીગીરીને તું શા માટે ઉત્તેજન નથી આપતો? તારાં બચ્ચાંને તું કુશલ શામાટે નથી બનાવતો? કુદરત તો તારા પર પૂર્ણ કૃપા વર્ષાવી રહી છે. તેનો ઉપયોગ કેમ કરવો એજ શીખવાનું બાકી રહ્યું છે. જુલ્મની અંધારી રાત્રિ તો ગઇ છે. શત્રુઓનાં વાદળાં અદ્રશ્ય થઇ ગયાં છે. ઘાણ વાળતી તરવાર, રુધિરની નદીઓ ચલાવનારી સાંગો અને બરછીઓ હવે દિવાલ પરજ દેખાય છે ! તેતો હવે તારાં રમકડાં બની ગયાં છે, હવે તેનાથી ધાસ્તી રાખવાનું કાંઈ કારણ નથી. દુઃસ્વપ્નો દૂર થયાં છે, પ્રભાત થયું છે, પ્રહર એક સૂર્ય ચડી ગયો છે, અંધકારનો નાશ થયો છે, સોનાનાં નળિયાં થઇ ગયાં છે : હવે આંખ ઉઘાડ, ઊભો થા, કામે લાગ, તારા જે ભાઈઓ તને મદદ આપે છે તેઓનો આભાર માનીને તેની બરાબર થવા કોશીશ કર.
બ્રહ્માંડચક્ર પણ એક નિશાળ જેવું છે. ચડતી પડતી ઘટમાળની માફક થયાજ કરે છે. તારા સોબતીઓમાં તું સર્વોત્તમ હતો. હવે નીચો પડ્યો છે તેથી આંસુ પાડવાનું નથી. તેમ કરીશ તો વધારે નીચો જઈશ. તને ઊંચો કરવા તારા ભાઈઓ કોશિશ કર્યા જ કરે છે, પણ જ્યાં સુધી તું જરા પણ જોર નહિ કરે ત્યાં સુધી કાંઈ ફાયદો થવાનો નથી. પૂછલેલ બળદ પણ મદદ મળે ત્યારે બળ કરી ઊભો થાય છે. તારાં કળા કૌશલ્યનો લય નથી થયો, તેનું તેજ હજી ક્યાંક ક્યાંક ચળકી રહે છે. તેને મૂલ રૂપ પકડતાં વધારે વખત લાગશે નહિ. આ બાબતમાં વધારે લખવું એ હાલ જરૂરનું નથી. આટલું લખવાનું એજ કારણ છે કે, એક વસ્તુ જોઇ મારા મનમાં શું અસર થઇ તે આપ જાણો.
આ દુકાનો જોઇ અમે કિસ્તીમાં બેઠા અને પાછા અમારે ઉતારે આવ્યા. ઉતારાની ગોઠવણ મહારાજા તરફથી થઇ હતી, અમારા સાંભળવા પ્રમાણે અમારો ઉતારો બીજા બધા ઉતારા કરતાં સારો હતો, તોપણ તેમાં સેંકડો ઊંદરનાં દર હતાં. આ ઉપરથી આ ઉતારાથી ઊતરતા દરજ્જાનાં ઘર કેવાં હશે તેની સહજ કલ્પના થઇ શકશે.
‘लोभमूलानि पापानि’ એ સંસ્કૃત વાક્યની સત્યતા વખતોવખત જોવામાં આવે છે.
નડિયાદમાં આવેલા અનન્ય સાહિત્યતીર્થ ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’માં ઓગણીસમી-વીસમી સદીનાં, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાનાં, આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.
‘ગોવર્ધનરામ સ્મૃતિમંદિર’ વિશેનો પરિચય લેખ આ લીન્ક પર વાંચી શકાશે.
પુસ્તકનું નામ: કાવ્યનિમજ્જન અથવા ગુજરાતી કવિતામાં ઉંડા ઉતરવું
રચી છપાવનાર: હરિકૃષ્ણ બળદેવ ભટ્ટ
છાપનાર: સુરત ઐરિશ મિશન પ્રેસ
પ્રકાશન વર્ષ: ઈ.સ.૧૮૯૩
કિંમત: દોઢ રૂપિયો
પૃષ્ઠસંખ્યા: ૨૭૬+ ૧૩
વિગત: ‘સુરત મિશન સ્કૂલમાં સંસ્કૃત શિક્ષક, હાલ અંકલેશ્વર ઈંગ્લિશ સ્કૂલના હેડમાસ્તર’ હરિકૃષ્ણ ભટ્ટે આ પુસ્તક ‘લોકોપયોગી ને શાલોપયોગી થાય એ ઉદ્દેશે’ રચીને છપાવ્યું હતું, જેને ‘ડિરેક્ટરસાહેબે મંજૂર કર્યું હતું.’ પ્રસ્તાવનામાં લેખકે જણાવ્યા અનુસાર કવિતા શીખવામાં શબ્દાર્થની સાથે વ્યુત્પત્તિ ને સમાસ, સ્પષ્ટાર્થ ને ગૂઢાર્થ, અર્થની ચમત્કૃતિ ને રચનામાં ચાતુરી, રસ ને અલંકાર- વગેરે ઘણું શિખવા શિખવવાનું છે. આ તમામ બાબતોને પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે.
પ્રસ્તાવના પૂરી થયા પછી વિવિધ લોકોના પુસ્તક વિશેના અભિપ્રાયોને સમાવવામાં આવ્યા છે. આ અભિપ્રાય ગુજરાતી તેમજ અંગ્રેજી એમ બન્ને ભાષામાં છે, એટલે કે મૂળ ગુજરાતીમાં લખાયેલા અભિપ્રાયનો અંગ્રેજી અનુવાદ પણ આપવામાં આવ્યો છે.
શામળ ભટ્ટ, દલપતરામ, દયારામ, નર્મદ, નરસિંહ મહેતા, પ્રેમાનંદ, ગિરધર, ધીરો, અખો- એમ નવ કવિઓનાં વિવિધ કાવ્યો શરૂઆતનાં ૮૬ પાનામાં છે. શામળ ભટ્ટ અને અખાનો ટૂંકમાં પરિચય પણ લખાયેલો છે. એ પછી ‘ટીકારંભ’ વિભાગમાં વિવિધ શબ્દોના અર્થ અપાયા છે. છેલ્લે ‘અલંકારપ્રકરણ’ વિભાગમાં અર્થાલંકાર અને શબ્દાલંકાર અંતર્ગત વિવિધ અલંકારોની સમજણ ઉદાહરણસહિત આપવામાં આવી છે.
જીવનસંધ્યાએ ઊભેલી કલ્પના આજે પાર્કના એ બાંકડા પર બેઠી હતી જ્યાં પાંત્રીસ વર્ષ પહેલાં એણે અને સુરેશે ભાવિ જીવનનાં સપનાં જોયાં હતાં.
એકદમ સ્વસ્થ એવો સુરેશ માત્ર બે દિવસની બીમારીમાં ચાલ્યો ગયો.
સુરેશ અને કલ્પનાનું દાંપત્યજીવન પ્રસન્ન હતું. સુરેશની સ્ટેટ બેંકની અને કલ્પના સરકારી ઑફિસની જોબ સાથે અશ્વિન અને અદિતિને મોટાં કરવાં, લગ્ન સુધીની જવાબદારી નિભાવવી કશું જ સહેલું નહોતું છતાં સ્નેહપૂર્વક પાર પાડ્યું હતું.
પહેલાં અશ્વિનને પરણીને શ્વેતા આવી ત્યારથી અદિતિ અને શ્વેતાને લાંબો સમય સાથે રહેવાની તક મળી. બંનેને એકબીજા સાથે ખૂબ ફાવતું. દિવસભરની નોકરી પરથી પાછાં આવીને બંને સાંજનું રસોડું સંભાળે ત્યારે ઘરનાં વાસણોનાં ખખડાટ સાથે બંનેનાં મુક્ત હાસ્યનો રણકાર ઘરને જીવંત બનાવતો. કલ્પના ખુશ હતી. સુરેશના ગયા પછી હવે આ ઘર હસતું થયું.
એ પછી અદિતિના લગ્ન થયા. શ્વેતા જેવી પુત્રવધૂ અને સતીશ જેવા જમાઈથી કલ્પનાનો પરિવાર પૂર્ણ હતો.
સૌનો સમય સુખેસુખે જતો હોય એવું ક્યાં હંમેશાં બને છે?
એક સાંજે અદિતિ પાછી આવી. સતીશને શરાબની લત લાગી હતી. સતત અદિતિ પાસે પૈસાની માગણી કરતો અને ન મળે તો મારપીટ.
વાત સાંભળીને સૌ સ્તબ્ધ. અશ્વિન-શ્વેતાએ સતીશને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ વ્યર્થ. સતીશ અદિતિના નામે ફ્લેટ કરીને ચાલ્યો ગયો.
અદિતિ હંમેશ માટે પાછી આવી ગઈ. કલ્પના એને હૂંફ અને અશ્વિન હિંમત આપતો. આશ્ચર્ય એ વાતનું થયું કે આજ સુધી અદિતિ સાથે હસતીરમતી શ્વેતા સાવ શાંત થઈ ગઈ.
એક સાંજે શ્વેતા ઘેર પાછી ન ફરી. શ્વેતાની ઑફિસ એની મમ્મીના ઘરની સાવ નજીક હતી. ક્યારેક એ મમ્મી પાસે જતી, પણ આમ કહ્યા વગર તો ક્યારેય નહીં. રાહ જોઈને અશ્વિને ફોન કર્યો.
“અરે, અહીં અદિતિને લીધે સૌ ચિંતિત છે અને તું આમ…..”
“હવે મારાથી એ બધું નહીં સચવાય. એ ઘરમાં મને ગોઠતું નથી.”
“ત્રણ બેડરૂમ, મા જેવી સાસુ, બહેન જેવી નણંદ અને ઘરમાં ગોઠતું નથી?” અશ્વિન વાત પૂરી કરે એ પહેલાં ફોન મુકાઈ ગયો હતો.
આઠ દિવસે પોતાનો સામાન લેવા પાછી આવી. અશ્વિન ગુસ્સામાં હતો.
કલ્પનાએ શ્વેતાને બોલાવી. શું થયું હશે? શ્વેતા કંઈ બોલે તો ખબર પડે ને?
પોતે તો શ્વેતા ને અદિતિમાં કોઈ ભેદ નહોતો રાખ્યો. અદિતિ અને શ્વેતાનો વ્યવહાર સખી જેવો હતો.
તો પછી અશ્વિન સાથે? આશંકા અને ઉચાટથી મન ફફડી ગયું.
“શ્વેતા…?
“એમ.બી.એ. કરવું છે. મમ્મીના ઘરથી યુનિવર્સિટી સાવ પાસે છે. ત્યાં મને વધુ અનુકૂળતા રહેશે.”
“બેટા, આપણા ઘરથી માત્ર વીસ મિનિટ વધુ થશે. ત્યાં મમ્મીની સર્જરીને માંડ બે મહિના થયા છે. એમનો ભાર વધારવાની શી જરૂર? જાણે છે ને પપ્પા હોત તો તું ભણવાનું વિચારે છે એ જાણીને કેટલા ખુશ થાત?
શ્વેતા શું ગઈ, ઘરની રોનક ચાલી ગઈ. અદિતિના લગ્નવિચ્છેદને લઈને કલ્પનાના મનમાં ખેદ હતો. હવે અશ્વિનને ઘરમાં એકલો જોઈને એનો જીવ બળતો. અશ્વિન અને અદિતિની એકલતા એને કોરી ખાતી.
*******
શ્વેતા ભણવામાં હોંશિયાર તો હતી જ, પણ એમ.એ. કર્યા પછી નોકરીની આવશ્યકતા, લગ્ન, સમજી વિચારીને આગળ ભણવાનો વિચાર માંડી વાળ્યો હતો.
આગળ ભણવાની ઇચ્છા ત્રણ વર્ષે પૂરી થતી હતી. વધુ સારી નોકરી મેળવવાની શક્યતાઓથી એનું જોશ બેવડાયું. ભારે ઉત્સાહથી ભણવા માંડી
બે મહિના ક્યાંય પસાર થઈ ગયા.
શ્વેતાની બહેન વૃષાલી એના ત્રણ વર્ષના દીકરા કુણાલ સાથે અઠવાડિયા માટે મમ્મી સાથે રહેવા આવી. મમ્મીની સર્જરી પછી સાંસારિક જવાદારીઓના લીધે નીકળી શકી નહોતી. શ્વેતાનેય કેટલા વખતે મળાયું હતું !
વૃષાલી પતિની, દીકરાની, ઘરની, સાસુમાની વાતો કરતા થાકતી નહોતી. શ્વેતા શાંત હતી.
વૃષાલીના મનનો આનંદ ચહેરા પર છલકતો. વૈવાહિક જીવનનાં, માતૃત્વનાં પરમ સુખ અને સંતોષથી એ છલછલ હતી.
અઠવાડિયું તો ક્યાંય પસાર થઈ ગયું. વૃષાલીના જવાનો દિવસ આવ્યો. શ્વેતાએ એને વધુ રોકાવાનો આગ્રહ કર્યો.
“ના બાબા ના…જોતી નથી, પ્રશાંતના રોજે કેટલા ફોન આવે છે !? સાચું કહું શ્વેતા, મારા વગર પ્રશાંતનું અને પ્રશાંત વગર મારું જીવન જ અધૂરું. મમ્મીજી તો વળી હું નહીં હોઉં તો પોતાના ખાવાપીવાનુંય પૂરું ધ્યાન નહીં રાખતાં હોય એ વાત ચોક્કસ.”
એ દિવસે કૉલેજમાં શ્વેતાનું ચિત્ત ભણવામાં ન લાગ્યું. પુસ્તકનાં પાનાંઓમાં એને વૃષાલી, પ્રશાંત, એનાં સાસુમાના ચહેરા દેખાતા. થોડી થોડી વારે આવીને વૃષાલીને વળગી પડતો કુણાલ દેખાતો હતો.
કૉલેજ પૂરી થાય એ પહેલાં જ એ નીકળી ગઈ.
ઘેર આવીને અશ્વિનને ફોન કર્યો.
“અશ્વિન, હું ઘેર આવું છું.”
મમ્મીને પગે લાગીને નીકળી ત્યારે શાલિની ઓવારણાં લેતાં બોલી. “દીકરી, તને કેટલી વાર સમજાવી, પણ ….જવા દે એ વાત. જાગ્યાં ત્યારથી સવાર. જા, સૌને સુખ આપીને સુખી થજે.”
ઘરમાં એકલા અશ્વિનને જોઈને શ્વેતાને આશ્ચર્ય થયું.
અદિતિ એનાં ફ્લેટમાં રહેવા ચાલી ગઈ છે ને મા એની સાથે રહે છે, એ જાણીને આઘાત લાગ્યો.
“અશ્વિન, હમણાં જ જઈને બંનેને લઈ આવીએ.”
*****
કલ્પના એ જ બાંકડા પર બેઠી હતી. એકલી, થાકેલી, હારેલી..
“મા….”
“શ્વેતા..તું ? ક્યારે આવી?
“મા, ચાલો આપણાં ઘેર. અદિતિને પણ લઈ આવું છું. સૌ પહેલાંની જેમ સાથે રહીશું.” શ્વેતા કલ્પનાને વળગી પડી.
“જઈશું તો ખરાં, પણ તારું ભણવાનું ચાલુ રાખવાની શરતે; નહીંતર નહીં.”
“હા મા, પણ ઊભાં તો થાવ. પહેલાં અદિતિને તો લઈ આવીએ.”
કલ્પનાના મનમાં આનંદની લહેર ઊઠી. શ્વેતા અને અશ્વિનના હાથ થામીને ઘર તરફ ચાલી.
રત્નપ્રભા શહાણે લિખિત, લતા સુમંત અનુવાદિત વાર્તા -સૂઝ પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
એમનું નામ બહુ સરસ હતું. અરુણોદય. જાણે બંગાળી-બંગાળી લાગે. અરુણોદય. એ કહેતા કે એમના ફાધરનું પોસ્ટિન્ગ બહુ શરૂઆતમાં ઉત્તર બંગાળમાં થયેલું. ત્યાં આ નામ એમણે સાંભળેલું, ગમી ગયેલું, ને યાદ રહેલું. પછી ફાધર જ્યારે પરણ્યા, અને દીકરો જન્મ્યો ત્યારે ફાધરે આ નામ પાડવાનો આગ્રહ રાખ્યો.
પછીથી સ્કૂલમાં એમણે નામ નવેસરથી ફક્ત અરુણ લખાવ્યું. બીજા કેટલાયે અરુણોમાંના એ એક બની ગયા. પણ એ કૉલૅજમાં આવ્યા, અને કળાકાર તરીકે ઓળખાવા લાગ્યા ત્યારે ફરીથી અરુણોદય નામ એમણે અપનાવ્યું. બીજાં બધાં માટે એ એમનું તખલ્લુસ હતું. કેવળ મારે માટે જ એ એમનું રીતસરનું નામ હતું.
હું એમને અરુણોદય કહીને બોલાવતી ત્યારે બધાંને થતું કે હું એમની મજાક કરું છું. એ જાણતા કે એવું નહતું. એમણે મને કહ્યું હતું કે મારે મોઢેથી એ નામ સાંભળવું એમને બહુ જ ગમતું. હું ચિડાવતી, “શું પોતાના જ નામના પ્રેમમાં પડી ગયા છો?” એ કહેતા, “ના, તારા પ્રેમમાં”. ને હું હસતી -મોટી જોક હોય એમ. એ સિવાય કશી ગમ હતી નહીં મને.
દરરોજ અરુણોદય સાથે વાતો પૂરી થતી નહીં. જોકે અમે બે એકલાં હોઇએ ત્યારે સંકોચ થવા માંડતો, કે ચૂપ થઈ જવાતું. શાથી તેની ખબર વળી શાની પડે? બીજાં સાથે ટોળામાં હોઇએ ત્યારે અમારું વાક્ચાતુર્ય બહુ ખીલતું -અરુણોદયનું, ને એટલું જ મારું પણ.
બસ, પછી બપોર પછી ઘેર, ને કૉલૅજનો દિવસ પૂરો.
. . . . .
આ પ્રેમનું પણ કૈં ગજબ હોય છે. એ અદૃશ્ય હોય, ભૂગર્ભમાં જતો રહે, સમાંતર ધારા થઈને ચાલે. જોકે આ બધું કુશલા સમજી, અને કેટલુંક અનુભવી પણ ચૂકી, ત્યારે વચમાં ઘણાં વર્ષો વીતી ગયેલાં. એ પછી, છેલ્લે, કશો અણજાણ્યો પસ્તાવાનો ભાવ એને કોરી રહેતો હતો. તે પણ પ્રેમનું જ એક સ્વરૂપ. જાતે જ એક જણને ખોઈ બેઠાં હોવાનું ભાન થવું -મોડું મોડું, તે આ સ્થિતિ છે.
કુશલા બી.એ. પાસ કરે કે તરત એનાં લગ્ન નક્કી થઈ ગયેલાં. એને તો વધારે ભણવાની ઇચ્છા હતી, પણ પાત્ર બહુ સારું હતું, એમ એણે સાંભળ્યા કર્યું હતું. સુનય સાથે મળવાનું થયું તે પછી એ પણ મનોમન એવું જ કહેવા માંડી ગઈ હતી. સુનય ઊંચો ને દેખાવડો હતો, હસમુખો ને હોશિયાર હતો, અને શીપિન્ગ કંપનીમાં મોટો ઑફીસર હતો. એના સફેદ યુનિફૉર્મમાં તો એ એવો સરસ લાગે. કુશલાની બહેનપણીઓ કહે, બરાબર રનબીર કપૂર જેવો લાગે છે. એ ઉંમરે આટલું પૂરતું જ નહીં, એથી ઘણુંયે વધારે લાગ્યું હતું.
પણ સુનય વર્ષના કેટલા મહિના બહાર રહેતો હતો, એના પર જાણે કોઈએ ધ્યાન જ ના આપ્યું. અને બહાર જ નહીં, એને તો સામટા ઘણા મહિના દરિયા પર રહેવાનું હતું. એ બાબત વિચારવા જેવી ના લાગી કોઈને? કુશલાને પણ નહીં? આ પ્રશ્ન કુશલાએ પોતાને પૂછ્યો હતો. પણ તે તો લાંબા સમય પછી. એ દરમ્યાન એ કહેવા માંડેલી, “હું હવે બરાબર ખલાસી બની ગઈ છું.” એ તો સારું હતું કે એને ક્યારેય દરિયો નડ્યો નહીં. સુનય બધાં આગળ ગર્વ કરીને કહેતો, “કુશલામાં ને મત્સ્યકન્યામાં કોઈ ફેર ખરો?”
સંસાર આવો હોઇ શકે તેવી કલ્પના પણ કુશલાએ કરી નહતી. કુશલાને માટે તો આ જ એના જીવનની શરૂઆત હતી. આગલાં વર્ષોનું જીવ્યું જાણે ફક્ત અત્યાર માટેની તૈયારી રૂપે જ હતું. જે છૂટી ગયું હતું તે સાનંદ છોડ્યું હતું. કશું કે કોઈ એને યાદ આવતું નહતું. મમ્મી-પપ્પાની સાથે તો ફોનથી વાતો થતી જ રહેતી, અને હવે તો ‘સ્કાઇપ’નાં સિગ્નલનો સંસ્પર્શ સાગર પર પણ થઈ શકતો હતો. અરે, કુશલાએ પૅરિસમાં વાળ કપાવેલા, તેનો ખ્યાલ જોતાંની સાથે મમ્મીને આવી ગયો હતોને.
ત્રણેક વર્ષ પછી પહેલી વાર નાના ભાઈ કેયૂરનાં લગ્ન પર કુશલા અને સુનય બંને ઇન્ડિયા ગયેલાં. પણ આ નાની ભાભી જુહી બૅન્ગૅલોરની હતી, તેથી બધાં જાન લઈને ત્યાં ગયાં હતાં. લગ્નના અસંખ્ય સમારંભો પછી છેક અમદાવાદ જવા જેટલો ટાઇમ સુનય પાસે હતો નહીં. ઘરનાં બધાં ત્યાં મળી જ ગયેલાં એટલે કુશલા પણ એની સાથે જ સ્ટીમર પર પાછી જતી રહી હતી.
. . . . .
કુશલાને કાંઠા-કિનારાની ઝંખના ક્યારેય થઈ નહતી. એને મઝધાર જ બહુ ગમતો. સાગર અને ગગનની ભૂરી ભૂરી છીપની વચમાં કીમતી મોતી જેવું વહાણ, એ પવનના સંગમાં દૂર દૂર સરકતું જતું હોય, ને ક્શિતિજ હસતી હસતી નજરની સાથે રમતી હોય. બસ, આ જ. ને રોજે રોજ કુશલા વિસ્મય અનુભવતી -કેટલા બધા દરિયા. એક પછી એક, એકમેકની સાથે ગુંથાયેલા, લાગે એકસરખા, ને તોયે જુદા.
કુશલા વિચારતી, ઝરણું હોય તો નાચતું-કૂદતું જાય, નદી હોય તો વળાંક લેતી હોય, દરિયો હોય તો ઊછળીને પણ બતાવે; તો પોતાના જીવનનો આ કેવો પ્રવાહ છે, જે સીધો સરળ જઈ રહ્યો છે? ઊંડો હશે તેથી ચંચળ નથી?, એકવિધ હશે તેથી વળતો નથી?, ને સંયત હશે તેથી તોફાની બનતો નથી? કેવો જુદી જ જાતનો જળસમૂહ હશે આ જીવન.
કે પછી શું આ એવી કોઈ વાર્તા હશે જેને કોઈ મધ્ય ના હોય? કોઈને રસ ના પડે તેવી વાર્તા.
પહેલાં એક વાર તો કુશલાને આ વિચારથી હસવું આવી ગયું. પણ પછી, પવનની સાથે હાથમાંનો લાંબો સ્કાર્ફ ફરકાવવાની રમત રહેવા દઈને, એ ગંભીર બની ગઈ. સુનય સાથેના આ જીવનથી જુદું એને કશું જોઈતું જ નહતું. બધી બાબતે બંનેના વિચાર સરખા હતા. ખેર, લગભગ બધી બાબતે, એણે જાતને ક્હયું. એ એક બાબત બાળકના સંદર્ભે હતી. સુનયને ક્યારેય બાળક જોઇતું નહતું. કુશલા એ સાથે સંમત જ હતી -લગભગ હંમેશાં. સુનયની સાથેની ચર્ચામાં કુશલાએ ઘણી વાર કહ્યું હતું કે “હા, પૃથ્વી પર છોકરાંની ખોટ નથી. ને આપણાં એક કે બેને જ પ્રેમ કરીએ, એને બદલે હજારોને પ્રેમ કરી શકાય તે વધારે સારું છે.” અત્યંત ગરીબ બાળકોના હિત માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા નિયમિત રીતે બંને દાન કરતાં.
પણ ક્યારેક -કેવળ ક્યારેક જ -કુશલાને થતું કે આવા સરસ સુનયનો વંશજ હોવો ના જોઇએ? આવી દલીલ સુનય આરામથી હસી કાઢતો. એ પછી કુશલા પોતાની અંદર જ ગુંચવાતી. એનું પોતાનું પણ કોઈ કારણ છેને? પ્રશ્નનો જવાબ પોતાની અંદરથી એને મળતો નહતો. બાકી તો મનોમન કદાચ બંને વિચારતાં, આપણી જેમ આમ અચાનક ભેગાં થઈ ગયેલાં બે જણ વચ્ચે કેવો સાગર જેવો અપાર પ્રેમ છે.
આવી એક વાતચીતના છએક મહિના પછી મમ્મીની પંચોતેરમીનો પ્રસંગ આવ્યો. નક્કી એવું થયું કે કુશલા આગળ જાય, ને સુનય પછી આવી જશે. જવાના બેએક મહિના પહેલાંથી કુશલા જરાક ચમકી ગઈ હતી. એને કંઇક જુદું થતું લાગી રહ્યું હતું -એના દેહમાં, ને તેથી એના મનમાં. ત્રીજા મહિને જ્યારે એ રજસ્વલા ના થઈ ત્યારે તો કોઈ શંકા જ ના રહી. સુનયને બધી વાતો એ તરત કહેતી જ હોય, છતાં આ બાબત જરાક જુદી હતી. એ માટે કુશલા થોડું વિચારવા માગતી હતી.
જરા ધીરજથી વાત કરવાનો સમય નીકળ્યો નહીં. એ પહેલાં કુશલાને ઇન્ડિયા જવા નીકળી જવું પડ્યું. કાંઇ નહીં, સુનય ઇન્ડિયામાં મળશે ત્યારે વાત થશે, એણે વિચાર્યું. મમ્મીની વર્ષગાંઠનો પ્રસંગ આવ્યો ત્યારે એવું બન્યું કે સ્ટીમર પરની જવાબદારીને કારણે સુનયથી ઇન્ડિયા આવી શકાય તેમ નહતું.
કુશલા અમદાવાદ પહોંચી ત્યારથી જ એને થાક જેવું લાગ્યા કરતું હતું. પણ પછી કુશલાના પેટમાં દુખાવો વધી ગયો, ને ભાઇ-ભાભી એને ડૉક્ટર પાસે લઈ ગયાં ત્યારે ચુકાદો એ હતો કે બાળક બચ્યું નહતું. “પહેલી વારની પ્રૅગ્નન્સીમાં આવું થાય છે, બેટા, આમાં ચિંતાનું બહુ કારણ નથી”, ડૉક્ટરે કહ્યું હતું.
એ આવ્યું ક્યારે, ગયું ક્યારે, કશી ખબર જ નહીં?, આવું છું-જાઉં છું, એવું કાંઇ કહેવાનું નહીં? કુશલા મનમાં સ્તબ્ધ થઈ હતી. જાણે આ પહેલી જ વાર એને પવનની દિશા અને મોજાંનું જોર અનપેક્શિત લાગ્યાં. પણ આમેય એની સાગર-સફરમાં આવો મુકામ કોઈ નકશામાં હતો જ ક્યાં? જ્યારે બાળક કોઈ જોઈતી ચીજમાં હતું જ નહીં ત્યારે એ નહીં હોવાનું દુઃખ પણ ના જ હોવું જોઇએને? આવી સમજણ હોવા છતાં કિનારો રેતાળ થવા માંડ્યો હતો.
થોડા દિવસ પછી કૉલૅજનાં કેટલાંક મિત્રો સાથે ભેગાં થવાનું હતું. હીના નામની બહેનપણી સાથે કુશલાને સંપર્ક રહેલો. એણે જ આ ગોઠવેલું. “તું જો તો ખરી કોઈ ઓળખાય છે કે નહીં”, એણે કટાક્શમાં કહેલું. કુશલાને તરત કોઈ ઓળખાયું નહતું. વચમાં દરિયા જેટલાં વિશાળ સાત વર્ષ વીતેલાં. ધીરે ધીરે એ જૂની બહેનપણીઓ સાથે વાતો કરવા લાગી- પોતાની વાતો ટાળતી રહી, બીજાં વિષે રસ બતાવતી રહી.
ત્યાં જ એની પાછળથી કોઈએ પૂછ્યું, “શું, મારી સાથે વાત કરવાનો વારો આજે આવવાનો કે?” આટલાં વર્ષે પણ કુશલાએ એ અવાજ ઓળખ્યો. મોં ફેરવીને એ સામે જુએ તેની વચમાંની વીસ સૅકન્ડમાં પોતાને વિષે એને એક નવી જ જાણ થઈ. એ કે એનું હૃદય છેલ્લાં સાત વર્ષથી આ અવાજ સાંભળવા માગતું રહેલું. મનમાં તીવ્ર ઇચ્છા હોય ને મનને જ ખબર ના હોય એવું બને?, જાતને પૂછતાં પૂછતાં એ પાછું ફરેલી. અરુણોદય. અરુણોદય.
આ પછી એ કૉલૅજના સ્વરૂપમાં હતી -ચપળ, ચતુર, હસતી, હસાવતી. અરુણોદય પરણી ગયેલા. “હા, બધાંની જેમ હું પણ સંસારનું સુખ પામી રહ્યો છું”, એ બોલેલા. નજીક ઊભેલું બીજું કોઈ બોલેલું, “અમે બધાં મધર ને ફાધર થઈ ગયાં છીએ, પણ તું એવી ને એવી જ લાગે છે.”
“અરે, થોડી ગઈ, હજી બહુ બાકી છે”, આગલી જિંદગીનું યાદ આવી ગયેલું પાત્ર ભજવતાં કુશલાએ કહેલું. પછી એ જમાનાની એમની ટેવ પ્રમાણે ત્વરિત ચાતુર્યોક્તિઓમાં કુશલા અને અરુણોદયે થોડો સમય ગાળ્યો હતો. બીજાં સાથે વાત કરતાં, કે પીઠ ફેરવેલી હોય ત્યારે પણ કુશલાને થતું કે અરુણોદય એને જ જોઈ રહ્યા છે, જેમ એ એમને જ જોઈ રહી હતી.
ખરેખર તો એને થયું કે અરુણોદય એને પ્રમાણી રહ્યા હતા. કૉલૅજના એ કાળે જેમ એ કુશલાના પ્રત્યેક હાવભાવ, અરે, એની આંખના પલકારાને પણ ઓળખતા, તે જ રીતે હજી પણ શું એને જાણતા હતા? કુશલા જે ગુમાવી બેઠેલી તે એણે બધાંથી છુપાવી રાખેલું. ભાઇ-ભાભી પાસેથી વચન લીધેલું કે કોઈને જણાવવાનું નથી, મમ્મીને પણ નહીં. એના મનમાં, જીવનમાં અકસ્માત્ ખાલી પડી ગયેલી એ જગ્યા આજે અરુણોદયની નજરમાં પકડાઇ જતી હોય એમ કુશલાને લાગતું રહ્યું. જાણે હવે અરુણોદયથી જાતને છુપાવવાની હતી.
કુશલા ચૂપચાપ ત્યાંથી નીકળી જવા ગઈ. અરુણોદય બહાર ઊભા ઊભા એની રાહ જ જોતા હતા? એમણે ઑચિંતો કુશલાનો હાથ પકડીને એને રોકી. સહેજ જેવો સ્પર્શ, ને એ સાથે જ બધા દરિયાનાં બધાં મોજાં ત્યાં ને ત્યાં થંભી ગયાં. બધી ગતિ અટકી ગઈ. કુશલા સચેતન હતી, ને એ બધીર પણ બની હતી.
મધદરિયે આવેલા ઝંઝાવાતમાં ફફડતા ને ફાટતા જતા શઢની જેમ વીતેલાં વર્ષોના લીરા ઊડવા માંડ્યા. દરિયા પર પસાર થયેલાં છેલ્લાં સાત વર્ષો જ નહીં, પરંતુ એ પહેલાંની, હવે અજાણી ને અભાન લાગતી અવસ્થાનાં વીતી ગયેલાં વર્ષો. એમાં આકારિત થતું ગયેલું રહસ્ય હવે આજે અકાળે ખુલી ગયું હતું. કુશલાની આંખો પહોળી થઈ ગઈ હતી, પણ એને કશું દેખાતું નહતું. અરુણોદય કશું કહી રહ્યા હતા, પણ એ કશું સાંભળી શકતી નહતી.
“તું થાકેલી લાગે છે”, અરુણોદય કદાચ ફરીથી બોલ્યા. કુશલાએ આગળ સાંભળ્યું, “ફરી મળજે.” કદાચ અરુણોદય બોલ્યા હતા, “કોઈ પણ વાત કરવી હોય તો ફરી મળજે.” ખારી હવામાં સૂકાતો હોય તેવા અવાજે કુશલાએ કહ્યું, “ચોક્કસ.” એ ગતિ મેળવે તે પહેલાં જ, પકડાયો હતો તેવો જ ઑચિંતો હાથ છૂટી ગયો. બધા દરિયા એકસામટા મઝધારેથી વરાળ થઈ જવા માંડ્યા. એના મનમાં, જીવનમાં બનેલી દરિયા વગરની જગ્યા એને ક્ષિતિજ સુધી ફેલાઇ જતી લાગી.
. . . . .
સુનય અને હું હજી દરિયા પર જ છીએ. દરિયા પર ખરાં, પણ વહાણ પર નહીં. એને હાર્ટ ઍટૅક આવ્યો પછી એણે વહેલી નિવૃત્તિ લઈ લીધેલી. એના જેવાને કોઈ પણ માંદગી નડે તે જ નવાઇ. તે પછી અમે મુંબઇથી થોડે દક્ષિણે એક ઘર રાખી લીધું છે. દરિયા પર, દરિયાની પાસે તો રહેવું જ હતું. સુનયથી પણ વધારે મારે. છીપની વચમાં, કે મઝધાર પર હવે ના રહી શકું, પણ એવા કિનારે તો રહી શકું કે જ્યાં જોરદાર મોજાંની સાથે મઝધાર મારી પાસે આવી પણ જઈ શકે.
સુનયે એક કિતાબ લખવી શરૂ કરી છે. એ કહે છે કે દરિયા સાથે વિતાવેલા સમય ઉપર લખી રહ્યા છે. હું માનું છું ધીરે ધીરે લખાણ દરિયા વગરના દિવસો ઉપરનું થતું જશે. મને ઘણી વાર એવું લાગે છે કે સુનયને મારી અંદરની ખાલી જગ્યા દેખાઇ ગઈ છે. પણ કઈ રીતે? મારી આંખોની અંદર જોયું હશે સુનયે, કે મારાં અસંખ્ય સ્મિતોની પાછળ? એ કશું બોલ્યા નથી. એ જ રીતે, મને પણ સુનયની અંદર બની ગયેલી ખાલી જગ્યાનો અંદેશો આવી ગયો છે. શું કારણ હશે એનું?, શું થયું હશે સુનયને? હું પણ કશું બોલતી નથી.
સાંજે ભીની થયેલી રેત પર ચાલવા નીકળીએ છીએ ત્યારે અમારી બાજુમાં કેટલાયે જુદા જુદા દરિયા ઘુઘવતા હોય છે. અમે વાતો કરતાં રહીએ છીએ, ને પોતપોતાની અંદરની ખાલી જગ્યાને એકબીજાંથી સંભાળતાં-સંતાડતાં રહીએ છીએ. પોતપોતાનું ખાનગીપણું અલગ રહે તે જ સારું છે.
મારે તો જે અકસ્માત્ ગુમાવી દીધેલું તેની યાદ ઉપરાંત સમજ્યા વગર જેને જતો કરેલો તે પ્રેમ માટેનો અપરાધભાવ પણ સાચવતાં રહેવાનું છે. જો આટલું મારી પાસે ના બચી રહે તો ફક્ત પેલી ખાલી જગ્યા જ બાકી રહી જશે એવો મને ભય છે.
અરુણોદય. કેટલું સરસ હતું એમનું નામ. અરુણોદય. હું એ પછી ક્યારેય એમને મારા અવાજમાં એ નામ સંભળાવી જ ના શકી. એ નામ કેવળ દરિયો સાંભળે એવી રીતે પણ ઉચ્ચારવાનું બન્યું નહીં. જેવું એ નામ બોલવા જાઉં છું કે એમણે મને વર્ષો પહેલાં કહેલા બે શબ્દો પડઘાય છે -”તારા પ્રેમમાં”- દરિયામાંથી કિનારા સુધી, પાણીમાંથી રેત સુધી, મઝધારમાંથી મારા સુધી.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
નમસ્કાર મિત્રો, “ગીતબિતાન”શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળ વધારતા, ચાલો એક નવીન પ્રકારની રચનાને જાણીએ અને માણીએ
આપણે જાણીએ છીએ તેમ ગુરુદેવ તેમની કલમ દ્વારા માનવીની ભીતર ની સંવેદનાઓને શબ્દોમાં તદરૂપે અક્ષરઃશ વણી લેતા. રબીન્દ્રસંગીત દ્વારા ગુરુદેવ માનવીને એક અરીસો ધરે છે – પોતાના મનને કોઈક અનોખી રચના દ્વારા મળવાનો, ઓળખવાનો. રબીન્દ્રસંગીતના ખજાનામાંથી માનવીની દરેકે દરેક મન:સ્થિતિ સાથે તાલ મિલાવતી એક રચનાતો તમને મળશે જ.
ગુરુદેવનું જેટલું સર્જન બાહ્ય જગતે માણ્યું છે તેટલુંજ અથવા તેનાથી વધુ ગુરુદેવે સ્વયં પોતાના અંતરને જાણ્યું છે. પોતાની ભીતરમાં રહેલા એ પરમ ચૈતન્ય, એ પ્રખર ઉજાસનું અહર્નિશ સાંનિધ્ય અને સામીપ્ય તેઓ સતત અનુભવતા. અને જયારે માનવીને ભીતરના ઉજાસની અનુભૂતિ થઇ જાય પછી એ ઉજાસના તેજને સથવારે તેનું સમગ્ર વિશ્વ પ્રકાશે પ્રજ્વલિત થઇ જાય. આવાજ ભાવ દર્શાવતી એક ખુબ સુંદર,પ્રતીકાત્મક અને પ્રચલિત રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. ૧૯૧૧માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે আলো আমার আলো ওগো | (Aalo Amar Aalo Ogo) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “અંતરનો ઉજાસ …”. જેનું સ્વરાંકન કવિવરે રાગ ઇમાનમાં કર્યું છે અને તેને દાદરા તાલ દ્વારા તાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું. આ રચનાને કવિવરે “બિચિત્રો” વિભાગ એટલે કે પ્રકીર્ણ વિભાગમાં વર્ગીકૃત કરી છે
અંતરનો ઉજાસ એટલે કે inner light – આ રચનામાં કવિવરે નિજ અંતરમાં રહેલા ઉજાસને શબ્દદેહ આપ્યો છે. જયારે ભીતરે ઝળહળતો પ્રકાશ હોય ત્યારે આજુબાજુ બધુજ ઝળહળી ઉઠે એ કવિવરે અલગ અલગ રૂપકો દ્વારા સમજાવ્યું છે. આ અંતરનો ઉજાસ એ નરી આંખે જોવાનો પ્રકાશ નથી પણ ભીતરની અનુભૂતિનો અહેસાસ છે. મારા, તમારા, સૌમાં એ પરમ ચૈતન્ય રહેલું છે જેની કૃપાથી આપણા શ્વાસની લયબદ્ધ ગતિ ચાલુ છે. પરમ ચૈતન્યનું અસ્તિત્વ આપણી ભીતરની જ્યોતને નિરંતર પ્રજ્વલિત રાખે છે અને એજ જ્યોત આપણને જીવનમાં સાચી દિશા પણ દેખાડે છે, એજ જ્યોત દ્વારા આપણે અન્યને પણ માર્ગ દેખાડવાનો હોય છે. પણ ઘણી વાર આપણા ખુદના લૌકિક આગ્રહો જેવાકે મોહ, ક્રોધ, ઈર્ષા આ જ્યોતને ગ્રહી લે છે અને અંતરનો ઉજાસ ક્ષીણ થઇ રહી જાય છે.શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહેલ છે
જે મનુષ્ય પોતાની ભીતરના ચૈતન્ય સાથે, અંતરના ઉજાસ સાથે એકાકાર થઇ હંમેશા નિજાનંદમાં મસ્ત રહે છે, તે યોગી સમાન મનુષ્ય મોક્ષના માર્ગ પર ગતિ કરી રહ્યા છે.
આ રચનામાં તો કવિવરે એથી અંતરના ઉજાસને તો શબ્દોમાં ઉજાગર કર્યો જ છે. When your inner light is shining bright, you find everything illuminated within your sight.
જે પોતે અંદરથી સંતુષ્ટ હોય, ખુશ હોય તેમને સર્વત્ર ઝળહળ જ દેખાય. જયારે અંતરનો ઉજાસ પારદર્શકતા થી પ્રજ્વલિત હોય ત્યારે પંતગિયાની પાંખમાં પણ પ્રકાશનો પમરાટ અનુભવાય. જીવનની વિષમમાં વિષમ પરિસ્થિતિમાં પણ આ વીરલાઓ સતત આનંદમાં રહે અને આજુબાજુ પણ આનંદ પ્રસરાવે. Do you know about the book Pollyanna? Pollyanna is a 1913 novel by American author Eleanor H. Porter, considered a classic of children’s literature. આ પુસ્તકમાં નાનકડી અનાથ બાળકી Pollyanna – આ અંતરના ઉજાસના સથવારે જીવનના અતિ વિષમ સંજોગોનો સામનો તો કરે જ છે પણ સાથે સાથે તેની આજુ બાજુ સૌને પણ જીવન નિજાનંદના સહારે કેવી રીતે જીવવું એ શીખવાડે છે. તમે આ પુસ્તક ન વાંચ્યું હોય તો જરૂર વાંચજો!!
તો ચાલો, આ અંતરના ઉજાસની જ્યોતને વધાવતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,
સુશ્રી અલ્પાબહેન શાહનો સંપર્ક alpadipeshshah@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
“નવ વસંતની શીતળ લહેર રંગહિન પુષ્પોમાં રંગ ભરીને નીકળી પડે છે, તેમ તમે પણ અમારા વેરાન ઉદ્યાનમાં આવીને તેને પ્રફુલ્લીત કરો’, જેવા શબ્દોમાં ફૈઝ સાહેબે પોતાની ગઝલની શરૂઆત કરી, પૂરી કરી અને તેમાં કોઇએ ખરેખર રંગ પૂર્યા હોય તો તેને તરન્નૂમમાં રજુ કરી મેહદી હસન સાહેબે! વાહ એ ગઝલના રચયિતા અને વાહ તેના ગાયક!
૧૯૭૧માં પંજાબમાં બદલી થઇને જિપ્સી ગયો ત્યારે તેણે પહેલી વાર પાકિસ્તાનના લાહોર ટેલીવિઝન પર આ ગઝલની ‘ક્લિપ’ સાંભળી. સામાન્ય રીતે કોઇ અસાધારણ ચીજ સાંભળવા મળે તો મુખમાંથી શબ્દો નીકળે, “વાહ, ક્યા બાત હૈ!” તે દિવસે આ ગઝલ સાંભળીને કોઇ શબ્દ ન નીકળ્યા. આભો થઇને તે કેવળ જોતો જ રહ્યો, સાંભળતો જ રહ્યો. ગઝલ પૂરી થયા બાદ બીજું કોઇ ગીત કે કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં તેણે મેસમાંનો ટેલીવીઝન off કર્યો. જેમ દાર્જીલીંગ ચ્હાનો પહેલો ઘૂંટડો લીધા બાદ કે દસ વર્ષ જુની શાર્ડોનેના ‘બૂકે’ની ખુશ્બૂ માણી તેનો પહેલો ‘સિપ્’ મમળાવ્યો હોય ત્યાર પછી બીજું કશું ચાખવાની ઇચ્છા ન થયા તેવી ભાવના થઇ આવી. થોડી વારે અમારા સી.ઓ. આવ્યા તેમને જિપ્સીએ આ ગઝલ અને તેના ગાયક વિશે પૂછ્યું.
‘અરે, આ તો મેહદી હસને ગાયેલી ગઝલ છે. ફૈઝ અહેમદ ફૈઝની આ ગઝલ તેમણે પાકિસ્તાનની ફિલ્મમાં ગાઇ હતી.”
જિપ્સી માટે શરમની વાત તો એ હતી કે તે પહેલાં તેણે મેહદી હસનનું નામ પણ નહોતું સાંભળ્યું! સૈનિકોને અબૂધ અને ‘અજ્જડ’ અમસ્તાં નથી કહ્યા!
આજની વાત શરૂ કરી મેહદી હસન સાહેબ માટે અને આવી ગયો ફૈઝ અહેમદ ‘ફૈઝ’ સાહેબ પર! બન્નેની એ જ તો ખુબી છે! રત્નને શોભાયમાન કરવા માટે કોઇ આભુષણ જોઇએ. જો રત્ન કોહિનૂર કે કુલીનાન જેવું હોય તો તેના માટે તો રાજમુકૂટ જ જોઇએ. ફૈઝની કલમ રત્નની ખાણ સમાન હતી. તેમાંથી નીકળેલ અણમોલ રતન ‘તુમસે પહેલીસી મુહબ્બત’ મૅડમ નૂરજહાંએ ગાઇ ત્યારે ફૈઝ સાહેબે આ ગઝલ નૂરજહાંને નજર કરી! ગઝલકાર અને ગાયીકા, બન્ને જનતા માટે નજરાણાં સમાન બની ગયા. એવી જ રીતે ફૈઝ સાહેબની ખાણમાંથી ઝળહળતા લાલ (Ruby) સમાન ‘ગુલોંમે રંગ ભરે..’ જેવું નીકળ્યું, અને મેહદી હસનના કંઠમાંથી જડાઇને બહાર પડ્યું, ગઝલ અને ગાયકીના સંસારમાં ખળભળાટ મચી ગયો! મેહદી હસન પ્રખ્યાત થઇ ગયા! ‘ગુલોંમેં રંગ ભરે’ સંગીતપ્રેમી જનતા અને જનમાનસમાં છવાઇ ગયું.
ફૈઝ સાહેબે આ ગઝલ મેહદી હસનને નઝર કરી કે નહિ તે જિપ્સી જાણતો નથી. એ તો એટલું જ જાણે છે કે જ્યારે પણ આ ગઝલ રેડીયો કે ટીવી પર જોવાય કે સંભળાય, તેને મેહદી હસન સાહેબના નામે જ કરી દેવાય છે, એટલી સુંદર રીતે તેમણે ગાઇ. અને મેહદી હસનસાહેબ ગમે ત્યાં કાર્યક્રમ થાય, આ ગઝલ તેઓ જરૂર પેશ કરતા રહ્યા અને ફૈઝસાહેબને અદબપૂર્વક અર્પણ કરતા ગયા.
આમ જોવા જઇએ તો સંગીતની મહેફીલમાં મેહદી હસન, ફૈઝ સાહેબ અને મિર્ઝા ગાલિબની ત્રિમૂર્તી અભિન્ન સ્વરૂપે પ્રકટતી. શાયરની રૂહનો આશિર્વાદ ગાયક પર હોય તો તેમનો કલામ જીવંત થઇ ઉઠે. મેહદી હસન પર આ બે મહાન શાયરોની અસીમ કૃપા હતી, તેવી જ કૃપા મેહદી હસનની અન્ય શાયરો પર રહી. તેમનો અવાજ, તેમની ગાયકી, તેમની ગઝલના આત્માની પહેચાન એટલી ઊંડી હતી કે તેમના સ્વરમાં શાયર પોતે આવી જતા, અને મેહદી હસનના મુલાયમ અવાજમાંથી નીકળતી તાનની હલક અને તલફ્ફૂઝની નજાકત શ્રોતાઓનાં તન અને મન પર છવાઇ જતી.
મેહદી હસન જ્યારે ફૈઝ સાહેબનો કલામ ગાતાં, તેઓ શાયરનાં શબ્દોના માધુર્યને એવી રીતે પેશ કરતા કે તે જનતાના હૃદય પર છવાઇ જતું. આપ તો જાણો છો કે ફૈઝ સાહેબ ક્રાન્તિકારી હતા. તેમનો આત્મા સૈનિક શાસકોના બૂટની નાળ નીચે રગદોળાતી જનતાને જોઇ શાંત ન રહ્યો. પાકિસ્તાનનો અવામ એક વિશાળ પાંજરામાં બંદી હતો. જમીનદારો – વડેરાઓ – તથા ઉંચા હોદ્દા ધરાવતા મિલિટરીના અફસરોની ધાક નીચે ખેડૂતો ગુલામોની જેમ જીવી રહ્યા હતા. ન તેમને કોઇ રાહત મળતી હતી, ન ચાહત. ફૈઝ સાહેબના કલામ સત્તાધારીઓને રાસ ન આવ્યા અને તેમને લાંબા ગાળાના કારાવાસમાં મોકલ્યા. તેમણે દ્વિઅર્થી કલામ લખ્યા: જેમને સમજવું હતું તે સમજી ગયા. અવામ તેને સમજવા જેટલી ક્ષમતા કેળવે ત્યાં સુધી તેમનો કલામ તેમને હોઠે ચઢી જાય તેવી તેમને ખ્વાહેશ હતી. તેમની આ ખ્વાહેશને જનતા સુધી પહોંચાડવાનું કામ મેહદી હસને કર્યું. તેમનું ‘ગુલોમેં રંગ ભરે’ લોક હૈયે બેસી ગયું.
આજે આપની સમક્ષ અમે મેહદી હસને ગાયેલી ફૈઝ સાહેબની ગઝલ પેશ કરીએ છીએ. મેહદી હસન જ્યારે પણ ગાવા બેસે, તેમનો આગ્રહ રહેતો કે તેમના ચાહકો તેમની નજીક બેસે, અને તેઓ જે ગઝલ કે નજમ પેશ કરે, તેના મર્મને જાણી શાયરની રચનાને બિરદાવે. ઘણી વાર તેઓ પોતે ગીતની ખાસ પંક્તિ શરૂ કરતાં પહેલાં જે શે’ર ગાવાના હોય તેનો અર્થ, તેના ખાસ શબ્દનું ઊંડાણ સમજાવ્યા બાદ શે’ર અને ગઝલ પૂરી કરતા. તેથી હવે રજુ કરેલી ફૈઝસાહેબની ગઝલના શબ્દો તથા તેના અર્થની ગહેરાઇને અહીં ઉતાર્યા બાદ તેને અમે મેહદી હસન સાહેબનાં કંઠમાં સંભળાવીશુ.
અહીં જિપ્સીએ ‘અમે’ શબ્દ બહુવચન એટલા માટે વાપર્યો છે કે તેનું ઉર્દુનું જ્ઞાન નહિવત્ છે. તેણે નેટ જગતના ઉર્દુ અને ફારસીના વિદ્વાન અસગરભાઇ વાસણવાળાની મદદ માગી. અસગરભાઇએ અહીં ગુજરાતીમાં ઉતારવામાં આવનાર ગઝલના એક એક શબ્દની શુદ્ધતા ચકાસી, તેનો અર્થ લખી મોકલ્યો છે, જે અહીં રજુ કરવામાં આવ્યો છે, જેથી આપ ગઝલની મધુરતા તથા તેના શબ્દમાધુર્યનો રસાસ્વાદ એક સાથે કરી શકશો. અસગરભાઇએ આપણા માટે જે જહેમત કરી છે તે માટે જિપ્સી તેમનો હાર્દીક આભાર માને છે, અને નીચે ગઝલ તથા તેનો અસગરભાઇએ લખી આપેલ સાર આપ્યો છે.
“નવ વસંતના પવનની મંદ લહેર આવીને પુષ્પોમાં રંગ પૂરે, અને રંગ બેરંગી ફૂલોથી સજાયેલ બાગ લોકોને આનંદ આપવાનું કામ કરે, તે માટે તો આપ પધારો! (જાણે નિસર્ગે આપની ગેરહાજરીને કારણે પોતાનું કર્તવ્ય કરવાનું છોડી દીધું છે!) “ શેરનો સામાન્ય અર્થ થાય છે: પ્રિયતમા, તમારી હાજરીથી ફૂલોમાં રંગ પૂરાય છે. તમે નથી તો કુદરતે તેનું કામ કરવાનું મૂકી દીધું છે!)
ક઼ફ઼સ ઉદાસ હૈ યારો સબા સે કુછ તો કહો
કહીં તો બહેરે ખુદા આજ ઝિક્રે યાર ચલે
“દોસ્તો, પિંજરામાં ગમગિની છવાઇ છે! મિત્રો, ખુદાને ખાતર પવનની લહેરને કંઇક તો કહો જેથી ક્યાંક તો પ્રિયતમા વિશે વાત થાય અને તે સાંભળે!” કફસ એટલે પાંજરૂં. કવિ કહે છે જે પિંજરામાં તે ફસાયા છે, તેનો આખો માહોલ ઉદાસ છે. એવી જગ્યાએથી શીતળ પવન આવે જે તેમના સમાચાર લાવે! (ફૈઝ સાહેબને ફૌજી હકૂમતે વર્ષો સુધી જેલમાં રાખ્યા હતા. અહીં જાણે તેઓ તેમના સાથી કેદીઓને કહી રહ્યા હોય તેવું લાગે!)
કભી તો સુબ્હ તેરે કુન્જે લબ સે હો આગ઼ાઝ઼
કભી તો શબ, સરે કાકુલ સે મુશ્કબાર ચલે
“કોઇક વાર તો તમારા હોઠના નાજુક ખૂણામાંથી (નીકળતા સ્મિતમાંથી) ઉષાનાં કિરણો નીકળે અને તમારા કાળા, વાંકડીયા કેશની લટમાંથી રાત્રી ખુશ્બૂદાર બની જાય!
શાયર વિયોગની રાત પર કટાક્ષ કરે છે. અહીં ભાર અપાયો છે ‘શબે હિજરાં’ – “વિયોગની રાત્રી” પર. (વિયોગની રાત મા)મારા પર જે વિતી તે વિતી પણ રાતમાં રડેલા મારા આંસુઓ તથા એ વિયોગની રાત, તારો ભવ(આકેબત) સુધારી ગયા.
હુઝ઼ૂરે યાર હુઈ દફ઼તરે જૂનૂં કી તલબ
ગિરહ મે લેકે ગરેબાં કે તાર-તાર ચલે
મક઼ામ કોઈ ફૈઝ઼ રાહ મે જચા હી નહી
જો કૂ-એ-યાર સે નિકલે તો સૂ-એ-દાર ચલે
શે’રનો સાદો અર્થ છે, ‘જ્યારે મારે મારી પ્રિયતમાના ઘરની રાહ છોડવી પડી, હું સીધો ફાંસીના માંચડા તરફ ગયો. મારા માટે બીજો કોઇ વિકલ્પ નથી. વાસ્તવમાં ફૈઝસાહેબના આ શબ્દો પાકિસ્તાન માટે છે: આઝાદી યા મૌત!
હવે ગઝલ ‘ગુલોંમેં રંગ ભરે’ મેહદી હસન સાહેબના સ્વરમાં સાંભળીએ.
કહો તો, તાજ ખુબસુરત છે કે તેમાં જડાયેલું રત્ન? જિપ્સી માટે આ કઠણ પ્રશ્ન છે. આપ કદાચ સંમત થશો કે બન્ને મૌલ્યવાન છે અને એકબીજામાં ભળી તે અણમોલ બની ગયા!
ઘાસનાં મેદાનો, કાંટાળા જંગલ, ખેતરો કે ગામડાની સીમમાં ફરતા હોઈએ ત્યારે ઘણીવાર વીજતાર કે બાવળ પર એક નાનકડું પક્ષી શાંતિથી બેઠેલું જોવા મળે છે. તેની નજર સતત આજુબાજુ ફરતી હોય છે, જાણે કોઈ તકની રાહ જોઈ રહ્યું હોય. દેખાવમાં ભોળું લાગતું આ પક્ષી વાસ્તવમાં કુદરતના સૌથી કુશળ શિકારીઓમાંનું એક છે. ગુજરાતમાં તેને લટોરો તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે અંગ્રેજીમાં તેને શ્રાઇક (Shrike) અથવા બુચરબર્ડ (Butcherbird) કહેવામાં આવે છે.
[લાલપીઠ લટોરો (red backed shrike)]લટોરાની ઓળખ કરવી ખૂબ જ સહેલી છે, જો કે ઘણી બધી અલગ અલગ પ્રજાતીના લટોરા પક્ષીઓ મળે જેને અલગ પાડવા થોડાક અઘરા પણ ભલે પ્રજાતિ કઈ છે તેનો કદાચ અંદાજો ન આવે પણ એ પક્ષી એક શ્રાઈક છે એ તેના આંખ ઉપર ઘાટા કાળા પટ્ટાની હાજરી થી કહી શકો. એ કાળો પટ્ટો નરમાં ઘાટો અને માદામાં આછો હોય છે.
“બુચરબર્ડ” એટલે કે “કસાઈ પક્ષી” નામ, તેને એમ જ મળ્યું નથી. કદમાં તે સામાન્ય મૈના કરતાં પણ નાનું હોય છે, છતાં તેની શિકાર કરવાની રીત કોઈ બાજ કે સમડીથી જરાય ઓછી નથી. તે જીવાત, ગરોળીઓ, દેડકાં, નાના ઉંદરો અને ક્યારેક અન્ય નાનાં પક્ષીઓનો પણ શિકાર કરે છે.
પરંતુ તેની પાસે બાજ કે ગરુડ જેવા મજબૂત પંજા નથી, જેના વડે શિકારને પકડી રાખી શકાય. કુદરતે આ ખામીનો પણ અનોખો ઉપાય શોધી આપ્યો છે. લટોરો પોતાના મજબૂત અને આગળથી અણીદાર ચાંચ વડે શિકાર પકડે છે અને પછી તેને બાવળના કાંટા, તારની વાડ અથવા તીક્ષ્ણ ડાળીઓમાં પોરવી દે છે. ત્યારબાદ તે આરામથી શિકારના ટુકડા કરીને ખાય છે. ઘણી વખત તે આવો શિકાર ભવિષ્ય માટે સાચવી પણ રાખે છે. આ કુદરતી “ભંડાર” તેના જીવનની એક અનોખી વિશેષતા છે અને તેથી જ તેને “કસાઈ પક્ષી” તરીકે ઓળખવામાં આવે છે.
[ગ્રેટ ગ્રે શ્રાઈક એક ઉંદરના શિકાર સાથે](આ વિડીયોમાં શ્રાઈકને શિકાર કરતો જોઈ શકાય છે
લટોરો, ધીરજવાન શિકારી છે. કોઈ ઊંચા થાંભલા, વીજતાર કે ઝાડીની ટોચ પર બેસીને આસપાસની જમીન પર બારીક નજર રાખે છે. જેમ જ કોઈ જીવાત કે નાનું પ્રાણી દેખાય કે તરત જ વીજળી જેવી ઝડપે તેના પર તૂટી પડે છે અને ફરી પાછો પોતાના મનપસંદ બેઠકસ્થાન પર આવી જાય છે. આ પદ્ધતિ ઓછી શક્તિ વાપરીને વધુ સફળ શિકાર કરવામાં તેને મદદ કરે છે.
તેના ખોરાકમાં તીડ, ભમરા, પ્રેઇંગ મેન્ટિસ, ઇયળો, કરોળિયા અને વીંછી જેવી જીવાતોનો મોટો ભાગ હોય છે. ઉપરાંત તે ગરોળી, દેડકો, નાના ઉંદર તેમજ ક્યારેક અન્ય પક્ષીઓના બચ્ચાંનો પણ શિકાર કરે છે. ખેતીને નુકસાન કરતી અનેક જીવાતોનો ભક્ષણ કરીને તે ખેડૂતોનો નિઃશબ્દ મિત્ર પણ બની રહે છે.
નાનું કદ હોવા છતાં લટોરાના શરીરમાં શિકારીને અનુકૂળ અનેક વિશેષતાઓ જોવા મળે છે. તેની મજબૂત અને આગળથી અણીદાર ચાંચ શિકારને મજબૂત રીતે પકડવા અને માંસ ફાડવા માટે અનુકૂળ છે. તેની તીક્ષ્ણ દૃષ્ટિ દૂર બેઠા બેઠા પણ જમીન પર થતી નાનામાં નાની હિલચાલને ઓળખી શકે છે. ખુલ્લી જગ્યાએ ઊંચા સ્થાને બેસવાની તેની ટેવ તેને ચારે તરફનું સ્પષ્ટ નિરીક્ષણ કરવાની તક આપે છે. આ બધાં ગુણોને કારણે, ભલે તે પેસેરાઇન પક્ષી હોય, પરંતુ તેનું વર્તન ઘણી રીતે શિકારી પક્ષીઓ જેવું જ લાગે છે.
ગુજરાતમાં વસવાટ કરતી લટોરાની પ્રજાતિઓનો પ્રજનનકાળ સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતથી ચોમાસા સુધીનો હોય છે. આ સમય દરમિયાન જીવાતોની સંખ્યા વધી જતી હોવાથી બચ્ચાં માટે પૂરતો ખોરાક ઉપલબ્ધ રહે છે.
નર અને માદા મળીને કાંટાળી ઝાડીઓ અથવા નાનાં વૃક્ષોમાં સૂકા તણખલાં, ઘાસ, મૂળિયાં અને છોડના રેસામાંથી સુંદર કપ આકારનો માળો બનાવે છે. અંદરનો ભાગ નરમ સામગ્રીથી ગાદીવાળો બનાવવામાં આવે છે જેથી ઈંડાં અને બચ્ચાં સુરક્ષિત રહે. માદા મુખ્યત્વે ઈંડાં સેવે છે, જ્યારે નર તેના માટે ખોરાક લાવે છે. બચ્ચાં બહાર આવ્યા પછી બંને માતા-પિતા સતત તેમને ખવડાવે છે. માળો છોડ્યા પછી પણ થોડા સમય સુધી બચ્ચાં માતા-પિતા સાથે રહીને શિકાર કરવાની કળા શીખે છે.
લટોરાનું જીવન ખુલ્લા ઘાસિયા મેદાનો, ઝાડીવાળા અને કાંટાળા જંગલો અને ખેતીની જમીન સાથે ગાઢ રીતે જોડાયેલું છે. આવા વિસ્તારો તેને શિકાર માટે ખુલ્લી જગ્યા, બેસવા માટે ઊંચા સ્થાનો અને માળા બનાવવા માટે કાંટાળી ઝાડીઓ પૂરી પાડે છે.
દુર્ભાગ્યે આજે આવા કુદરતી નિવાસસ્થાનો ઝડપથી ઘટી રહ્યા છે. ઘાસિયાળા પ્રદેશોનું ખેતી કે બાંધકામમાં રૂપાંતર, કાંટાળી ઝાડીઓની સફાઈ, વધતું શહેરીકરણ અને જંતુનાશકોના વધતા ઉપયોગને કારણે જીવાતોની સંખ્યા ઘટી રહી છે. પરિણામે લટોરા માટે ખોરાક અને પ્રજનન માટેની યોગ્ય જગ્યાઓ બંને ઓછી થતી જાય છે.
ઘાસિયા મેદાનો, કાંટાળી ઝાડીઓ અને ખુલ્લા કુદરતી આવાસોનું સંરક્ષણ માત્ર લટોરા માટે જ નહીં, પરંતુ અસંખ્ય પક્ષીઓ, સરીસૃપો, જીવાતો અને અન્ય નાના પ્રાણીઓ માટે પણ અત્યંત જરૂરી છે.
ગુજરાતમાં લટોરાની ત્રણ પ્રજાતિઓ આખું વર્ષ જોવા મળે છે—લોંગ-ટેઇલ્ડ શ્રાઇક, બે-બેક્ડ શ્રાઇક અને ગ્રેટ ગ્રે શ્રાઇક. શિયાળામાં ઇસાબેલાઇન શ્રાઇક અને બ્રાઉન શ્રાઇક મહેમાન તરીકે આવે છે, જ્યારે રેડ-બેક્ડ શ્રાઇક અને રેડ-ટેઇલ્ડ શ્રાઇક સ્થળાંતર દરમિયાન થોડા સમય માટે ગુજરાતમાંથી પસાર થાય છે. આ રીતે ગુજરાત લટોરાની વિવિધ પ્રજાતિઓનું નિરીક્ષણ કરવા માટે દેશના શ્રેષ્ઠ પ્રદેશોમાંનું એક ગણાય છે. ખાસ કરીને લાલપૂંછ લટોરો (red tailed shrike) અને લાલપીઠ લટોરો (red backed shrike) જે ખાલી કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સ્થળાંતર સમયે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન પસાર થતા હોય છે ત્યારે તેને નિહાળવા પક્ષીપ્રેમીઓ ભારતના વિવિધ ખૂણાઓથી ભેગા થાય છે.
લટોરો આપણને શીખવે છે કે કુશળ શિકારી બનવા માટે માત્ર મોટું શરીર હોવું જરૂરી નથી. ધીરજ, બુદ્ધિમત્તા અને કુદરતે આપેલી અનોખી અનુકૂલનતા સામાન્ય જીવને અસાધારણ બનાવી શકે છે. આગામી વખતે જ્યારે કોઈ બાવળની ટોચ પર કે વીજતાર પર એક નાનું પક્ષી સ્થિર બેઠેલું દેખાય, ત્યારે તેને માત્ર એક સામાન્ય પક્ષી સમજીને આગળ વધી જશો નહીં. કદાચ તમે કુદરતના સૌથી ચતુર અને અદ્ભુત નાનકડા શિકારીને નિહાળી રહ્યા હશો.