-
વાગાસા : પારંપરિક જાપાની છત્રી
માહિતી જંક્શન
વિશાખા મોઠિયા

ઊગતા સૂર્યના દેશ તરીકે ઓળખાતો ટચૂકડો દેશ જાપાન સમગ્ર વિશ્વમાં તેની એડવાન્સ ટેક્નોલોજી તેમજ ત્યાંના ટ્રેડિશનથી પ્રખ્યાત છે. જાપાન જેટલું આધુનિક છે એટલું પારંપરિક પણ છે. લોકોની જીવનશૈલીમાં સ્વદેશીપણું, આધુનિકતા તેમજ પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. આ લેખમાં આપણે જાપાનની એક એવી પારંપરિક વસ્તુ વિશે જાણીશું જે ત્યાંનું સ્ટાઇલ આઇકોન પણ છે એટલે કે એને ફેશન એક્સેસરિઝ તરીકે ઉપયોગમાં લે છે. તો ચાલો જાણીએ – જાપાનની પારંપરિક છત્રી તેમજ બીજું સ્ટાઇલ આઇકોન એવી વાગાસા વિશે, સાથે જાણીશું એનો ઇતિહાસ, પ્રકાર, બનાવવાની પ્રક્રિયા તેમજ વિશેષ બાબતો વિશે.
જાપાની ભાષામાં છત્રીને કાસા ~ kasa કહેવામાં આવે છે. છત્રી બે પ્રકારની જોવા મળે છે : એક તો ફોલ્ડિંગવાળી જે આપણે લોકો વાપરીએ છીએ એ અને બીજી ફોલ્ડિંગ વગરની જેને બંધ ન કરી શકાય, રાજાશાહી પ્રકારની. વાગાસા- wagasa એ જાપાનની પારંપરિક છત્રી છે. આની સિવાય બીજી ઘણી છત્રીઓ જોવા મળે છે જેમ કે – જનોમેગાસા, બંગાસા, હિગાસા, ડાન્સિંગ વગેરે. અહીં તડકા – વરસાદની તેમજ નૃત્ય – નાટક અને ધાર્મિક ઉત્સવ માટેની છત્રીઓ અલગ અલગ જોવા મળે છે. આ બધામાં વાગાસા એ મુખ્યરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. વાગાસા સહિતની દરેક છત્રીઓ સ્વદેશી સ્ટાઇલથી બનાવવામાં આવે છે. વાગાસા બનાવવા માટે ત્યાંનું પ્રખ્યાત કાપડ વાશી ~ washi, ફ્રેમીંગ માટે વાંસની સળીઓ, કુદરતી રંગો, ઔષધીય તેલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. છત્રીની સાઈઝ તેની પર ફીટ કરવામાં આવેલી ribs – સળીઓની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવે છે. વાગાસા છત્રી અનુક્રમે – 36, 40, 44, 46, 48, 54 વગેરેની સાઈઝમાં જોવા મળે છે. વાગાસા છત્રી ત્યાંના સામાજિક ઉત્સવ, ધાર્મિક ઉત્સવ અને વિધિઓ તેમજ લગ્ન વખતે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત ત્યાંના પારંપરિક નૃત્ય – નાટકોમાં પણ નાયિકા દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.
ઉત્પત્તિ
છત્રીનો કોન્સેપ્ટ કંઇ નવો તો નથી જ. પૌરાણિક કથાઓના પાત્રોમાં રાજાની એન્ટ્રી વખતે તેની પાછળ એક માણસ મોટી છત્રી લઈને ઊભો હોય છે. રાજા જ્યાં જાય ત્યાં એને જવાનું હોય છે. ભગવાનના ફોટા જોઈએ તો તેની ઉપર પણ સોનાના છત્રો કે છત્તર જોવા મળે છે. પરંતુ કહેવાય છે કે ‘જેવો દેશ એવો વેશ’ – એની જેમ દરેક દેશોમાં છત્રીઓ પણ ત્યાંની સંસ્કૃતિ અને વાતાવરણને અનુરૂપ જોવા મળે છે. ભલે કોઈ પણ દેશનો પૌરાણિક કે રાજાશાહી ઇતિહાસ હોય, છત્રીનું કામ માત્ર એક જ રહ્યું છે – તાપ તેમજ વરસાદથી રક્ષણ આપવાનું ~ છાંયડો આપવાનું.

આપણે અહીં જાપાનની છત્રીની વાત કરી રહ્યા છીએ. જાપાનમાં વાગાસા છત્રી બૌદ્ધ ધર્મના મારફતે આવી; છઠ્ઠી સદી આસપાસ. બુદ્ધ ભગવાનની મૂર્તિ પર છત્તર જોવા મળતું જેને કીનુગાસા ~ kinugasa કહેવામાં આવે છે. તે દેખાવમાં સપાટ ગોળ રહેતી. અહીંથી જાપાની છત્રીની શરૂઆત થાય છે. નવમી – દસમી સદીથી રાજા – મહારાજાઓ પણ દરબારમાં પ્રવેશ વખતે તેમજ નગરચર્યા વખતે આ છત્રીનો ઉપયોગ કરવા માંડ્યા. આ ઉપરાંત ગુરુ કે વિદ્વાન પણ આ પ્રકારની છત્રીનો ઉપયોગ કરતા. આ સમયગાળામાં છત્રી એ શાહી પ્રતીક મનાતી. છત્રી ઉપયોગ કરવાનું ચલણ હજુ સુધી સામાન્ય જનતા સુધી નહોતું પહોંચ્યું. આ રાજાશાહી છત્રી ફોલ્ડિંગ વગરની આવતી. તે દેખાવમાં ખૂબ જ મોટી અને તેની ઉપર જાતભાતના ચિત્રો દોરેલાં હોય છે. જાપાનના પ્રાચીન ચિત્રોમાં આવા દ્રશ્યો જોવા મળે છે. જેમાં રાજાની પાછળ એક માણસ આ વિશાળ છત્રી પકડીને ઊભો હોય.
સોળમી – સતરમી સદી આસપાસ, સામાન્ય પ્રજાઓમાં વાગાસા છત્રીનો ઉપયોગ શરૂ થયો. વાગાસા સંપૂર્ણ રીતે સ્વદેશી રીતથી બનાવવામાં આવતી. વાશી કાપડ, વાંસની સળીઓ, ઔષધીય તેલ, રંગબેરંગી દોરાઓ વગેરેનો ઉપયોગ કરીને જેમાં તડકા અને વરસાદની છત્રીઓ અલગ રહેતી. વરસાદની છત્રીને વોટરપ્રૂફ બનાવવા કાપડ પર તેલ લગાવવામાં આવે છે. સોળમી સદીથી લઈને આજ પર્યંત જાપાનમાં વાગાસા છત્રીઓ પારંપરિક રીતે બનાવવામાં આવે છે. વાગાસા ઉત્પાદનમાં જાપાનનું ક્યોટો, ગીફુ શહેર મોખરે આવે છે.
છત્રીનું ઉત્પાદન
૧) ક્યોટો : જાપાનના ક્યોટો શહેર સ્થિત ત્સુજિકરા – tsujikara નામની વ્યવસાયિક પેઢી છેલ્લા ૩૧૬ વર્ષથી વાગાસા છત્રી બનાવી રહી છે; જેની સ્થાપના સન – ૧૬૯૦માં થઇ હતી, જે આજ પર્યંત કાર્યરત છે. ત્સુજિકરા પરિવાર સંપૂર્ણ રીતે સ્વદેશી રીતથી વાગાસા બનાવે છે. પહેલાં એક વાગાસા બનાવવાની પ્રક્રિયા કેટલાય કારીગરો મારફતે પસાર થતી. વાગાસા બનાવવાના કાર્યો કારીગરો વચ્ચે વિભાજિત થયેલ હતા. અત્યારે એક જ કારીગર થકી આખે આખી વાગાસા બની જાય છે. હાલમાં ત્સુજિકરામાં સાતેક જેટલા કારીગરો છે જે જૂની પદ્ધતિથી વાગાસા બનાવે છે. વાગાસા માટે આ લોકોનો એક જ ધ્યેય રહે છે : ખોલો તો છત્રી અને બંધ કરો તો વાંસની લાકડી ~ Open it and it is an umbrella ; close it and it is a bamboo cane.
૨) ગીફુ : વાગાસાના મોટા પાયે ઉત્પાદનમાં જાપાન પછી ગીફુ શહેરનો નંબર આવે છે. ગીફુમાં વાગાસાનું ઉત્પાદન સામુરાઈ લોકોના સમયથી શરૂ થયું હતું. કામાકુરા – kamakura કાળ દરમિયાન ગીફુમાં આવેલ કાનો – kano વિસ્તાર જ્યારે નાગાઈ નોનોબુ – nagai naonobu ના તાબા હેઠળ આવ્યું ત્યારે તેમણે વાગાસા છત્રીનું ઉત્પાદન શરૂ કરાવ્યું હતું. તેમણે નીચલા સ્તરના સામુરાઈ સિપાહીઓને પોતાના રોજબરોજની જીવન જરૂરિયાતના ખર્ચા કાઢવા માટે વાગાસા બનાવવાના કામ માટે પ્રોત્સાહિત કર્યા. કાનો – kanoમાં પૂરતા પ્રમાણમાં વાશી કાપડ, ઔષધીય તેલ, વાંસની સળીઓ, ગુંદર વગેરે ઉપલબ્ધ હતું. અને ત્યાં બાજુમાં જ nagara – નગારા નદી હતી (હાલમાં પણ છે) એટલે ત્યાંથી માલ પરિવહન માટેની વ્યવસ્થા પણ આસાનીથી થઈ શકે એમ હતી. વાગાસા બનાવવાનું કામ ધીમે ધીમે ત્યાંનું સ્થાનિક વ્યવસાયિક કામ બની ગયું. બીજા વિશ્વયુદ્ધ પછી તેની માંગમાં ભારે ઉછાળ આવ્યો હતો. દર વર્ષે આશરે ૧ કરોડ જેટલી વાગાસા છત્રીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આજે પણ ગીફુના વિવિધ વિસ્તારોમાં વાગાસાની દુકાનો જોવા મળે છે.
૩) કાનાઝાવા : કાનાઝાવામાં બનતી વાગાસા અન્ય શહેરોમાં બનતી વાગાસા કરતા થોડીક અલગ હોય છે. અહીં ભારે માત્રામાં વરસાદ તેમજ બરફવર્ષા થતી હોવાથી, કાનાઝાવાની વાગાસા જાડા ~ મજબૂત કાપડવાળી હોય છે. કાનાઝાવાની વાગાસા છત્રીમાં કાસાગામી ~ kasagami નામક કાપડનો ઉપયોગ કરવામાં આવે છે, જે વાશી કાપડ કરતા મજબૂત હોય છે અને તે ભારે બરફવર્ષા તેમજ વરસાદને પણ ઝીલી લે છે. એક એવો સમય હતો જ્યારે કાનાઝાવામાં સો કરતાં પણ વધારે સંખ્યામાં વાગાસા છત્રીની દુકાનો હતી; જેમાંથી અત્યારે માત્ર એક જ બચી છે જેની સ્થાપના સન્ – ૧૮૯૬ માં થઇ હતી. સન્ – ૧૮૯૬થી કાર્યરત ‘મત્સુદા વાગાસા’ દુકાન અત્યારે તેની ત્રીજી પેઢી દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં ત્રણ કારીગરો દ્વારા પારંપરિક રીતે વાગાસા બનાવવાના આવે છે. કાનાઝાવાની વાગાસામાં છત્રીની અંદર રંગબેરંગી દોરાઓથી ઝીગઝાગ પેટર્ન બનાવવામાં આવે છે.
વિશેષ બાબતો
– બંગાસા અને જનોમેગાસા એ વરસાદ માટેની છત્રીઓ છે, જ્યારે હિગાસા – higasa એ તડકા માટેની છત્રી હોય છે. લગ્ન પ્રસંગ – તહેવાર, નૃત્ય – નાટક તેમજ ગૃહ – સુશોભન માટેની વાગાસા અલગ આવે છે.
– જનોમેગાસા એ સાંપની આંખો જેવા આકારની હોવાથી, તેને snake eye umbrella પણ કહેવામાં આવે છે.
– જાપાની છત્રી ત્યાંના જાહેર ઉત્સવોમાં ઉપયોગમાં લેવામાં આવે છે જેમ કે – ટી સેરેમની, યસુરાઈ મત્સુરી, નાગાસાકી કુંચી ફેસ્ટિવલ, દોંટાકુ ફેસ્ટિવલ, ગિઓન ફેસ્ટિવલ વગેરેમાં. આ ઉત્સવોમાં ૧૦૦ કિલો વજન આસપાસની ડેકોરેટેડ વાગાસા ઉપયોગમાં લેવામાં આવે છે.
– વાગાસા છત્રી જાપાનના પારંપરિક નૃત્યશૈલીઓમાનાં એની નિહોન બુયોમાં નૃત્યકાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. કીમોનો પરિધાનમાં નૃત્યકાર જ્યારે હાથમાં વાગાસા લઈને સ્ટેજ પર એન્ટ્રી કરે છે ત્યારે નૃત્યને ચાર ચાંદ લાગી જાય છે. આ ઉપરાંત ત્યાંના નાટકોમાં પણ અમુક સીનમાં કલાકાર દ્વારા વાગાસાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે – લડાઈનો સીન હોય ત્યારે વાગાસાનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
– સમગ્ર જાપાનમાં વાગાસાના સ્પેશિયાલિટી સ્ટોર ~ શો – રૂમ જોવા મળશે.
– જાપાનમાં સૌથી વધારે છત્રી ચોરાઈ જવાનો ડર રહે છે. છત્રી સિવાયની કોઈ પણ વસ્તુ ત્યાં ચોરાતી નથી.
– જાપાનમાં દરેક લોકોના ઘરે ઓછામાં ઓછી ત્રણ છત્રીઓ જોવા મળે છે. લોકો બહાર જાય ત્યારે છત્રી સાથે જ લઈ જાય છે.
– આપણે અહીં જેમ સોનાના ઘરેણા સાચવવાના લોકર્સ હોય છે તેમ અહીં જાપાનમાં વાગાસા છત્રી સાચવવાના લોકર્સ હોય છે.
– અત્યારે વાગાસાનો હોમ ડેકોર આઇટમ તરીકે પણ ઉપયોગ થાય છે.
તો આ વાત હતી, જાપાનની પારંપરિક છત્રી એવી વાગાસાની. એક એવી છત્રી જે જાપાનની પરંપરાનો એક અભિન્ન હિસ્સો છે. જેમાં તમને સ્ટાઇલ, કંફર્ટ, આર્ટ, ટ્રેડીશન બધું જ જોવા મળે છે.
સુશ્રી વિશાખા મોઠિયાનો સંપર્ક vishakhawriter@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
વિચરતા અને વિમુક્ત સમુદાયો હજુ ય બરાબરીના હકની પ્રતીક્ષામાં છે
નિસબત
ચંદુ મહેરિયા
ગુજરાત સરકારની વિકસતી જાતિ કલ્યાણ નિયામકની કચેરીએ તા.૧૨.૦૮.૨૦૨૬ના પરિપત્રથી જિલ્લા કચેરીઓને ૩૧મી ઓગસ્ટે વિમુક્ત દિવસની ઉજવણી કરવા જણાવ્યું હતું. ભારત ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આઝાદ થયો ત્યારે તો વિચરતા સમુદાયો પણ આઝાદ થયા હતા. પરંતુ તેમને ખરી આઝાદી તો પછીના પાંચ વરસ અને સોળ દિવસે મળી હતી. અંગ્રેજોએ તેમના શિરે જે ગુનેગાર જાતિ(ક્રિમિનલ ટ્રાઈબ્સ)નું લેબલ માર્યું હતું, તેને સ્વતંત્ર ભારતની સરકારે ૩૧મી ઓગસ્ટ ૧૯૫૨ના રોજ નાબૂદ કર્યું. જે સમુદાયો ગુનેગાર ટ્રાઈબ્સ તરીકે નોટીફાઈડ હતા તે ડિનોટીફાઈડ થયા. એટલે ૩૧મી ઓગસ્ટનો દિવસ આ સમુદાયો વિમુક્ત દિવસ કે આઝાદી દિવસ તરીકે મનાવે છે. આ વરસે તો તેમનો વિમુક્ત દિવસ પોણી સદીએ પહોંચી ચૂક્યો છે અને હવે સરકારી ઉજવણીનો પણ લાભાર્થી બન્યો છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી ભારતમાં બ્રિટિશ રાજનો અતિ કઠોર, ક્રૂર, અમાનવીય અને ભારે નિંદાપાત્ર કાયદો જો કોઈ હોય તો તે ૧૮૭૧નો ક્રિમિનલ ટ્રાઈબ્સ એકટ હતો. ૧૮૫૭ના પહેલા સ્વતંત્રતા સંગ્રામ વખતે જે કેટલાક સમુદાયો વિદેશી સરકાર સામે લડ્યા હતા અને પછી બિટિશ સત્તાના કાબૂ બહાર હતા તેમને તેણે ગુનેગાર, અપરાધી, ચોર, લૂંટારા ઘોષિત કરી દીધા હતા. વણઝારા, છારા, કાલબેલિયા, મદારી, નટ, બાફણ, ડફેર, ગાડરિયા અને એવી બીજી ૧૯૩ જાતિઓને ૧૯૫૨માં મુક્તિ મળી હતી. અંગ્રેજ સરકારે આ સમુદાયોને ગુલામીનો કઠોર અહેસાસ કરાવ્યો હતો. આરંભે તો તેમના માથે ગુનેગારનો ધાતુને ગરમ કરીને સિક્કો મારવામાં આવતો હતો.તેમનું જુદું રજિસ્ટર રખાતું અને રોજેરોજ પોલીસ થાણે હાજરી પૂરાવવી પડતી હતી. ચોક્કસ વિસ્તારોની બહાર તેમના હરવાફરવા પર પાબંદી હતી. તેમની ગમે ત્યારે ધરપકડો થતી હતી. તેમની તમામ પ્રકારની સ્વતંત્રતા છીનવી લેવાઈ હતી. તેમને ગુનો પુરવાર કર્યા વિના કે કોર્ટમાં કેસ ચલાવ્યા વિના અપરાધી માની સજા કરવામાં આવતી હતી. અંગ્રેજ પોલીસ જ નહીં પછી તો લોકો પણ તેમને શંકાની દ્રષ્ટિએ જોતા હતા.
વિચરતા સમુદાયો મોટેભાગે પશુપાલક અને કલાને વરેલા હતા. તેમનો કોઈ સ્થાયી વસવાટ નહોતો..તેઓ સતતા વિચરણ કરતા રહેતા હતા. અંગ્રેજોએ તેમના કપાળે કાયમી બહિષ્કરણ અને ગુના કે હિંસાનું કલંક થોપી દીધું હતુ. સંસ્કૃતિ અને ઈતિહાસનો તો તેઓ ગૌરવશાળી હિસ્સો હતા જ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પણ તેમનું મોટું યોગદાન હતું.. પરંપરા, સંઘર્ષ અને જીવનશૈલી આ ગુનેગાર ગણાતા સમુદાયોની ભારતીય સમાજની વિશેષ ઓળખ હતી. જો કે તેમને સંશય નજર હેઠળ અને ગામ કે મુખ્ય વસ્તી બહાર રહેવું પડતું હ

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી તને બદલે શંકાની નજર કાયમ તેમનો પીછો કરતી હતી. તેમને રંજાડવાની પોલીસને બહુ બધી સત્તાઓ મળી હતી. જો તેઓ નક્કી કરેલી સીમાની બહાર અવરજવર કરતા પકડાય તો ત્રણ વરસના કઠોર કારાવાસની સજા મળતી હતી. તેમના માટે દેશભરમાં સ્પેશ્યલ રિફોર્મ કેમ્પને નામે અલગ વસાહતો બનાવવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના કાનપુર નજીક ૧૫૯ એકરમાં આવી અલગ વસાહત હતી. વરસો સુધી તેમને ઘરોમાં કેદ કરી રાખ્યા હતા. ૧૯૧૧માં અંગ્રેજ સત્તાએ ૧૮૭૧ના અધિનિયમમાં સુધારો કરીને ૧૨ વરસ સુધીની ઉમરના બાળકોનો પણ અપરાધીની યાદીમાં સમાવેશ કર્યો હતો. તે રીતે આ સમુદાયો જન્મજાત ગુનેગારની યાદીમાં આવી ગયા હતા.
આઝાદ ભારતમાં વિચરતા અને વિમુક્ત સમુદાયોના ઉત્થાન માટેના સરકારી પ્રયાસોનો દેખાડો ખૂબ થાય છે. અત્યાર સુધી તેમના વિકાસ વિશે વિચારવા ભારત સરકારે જ નવ કમિશનોની રચના કરી હતી. તેમાં રેણુકે અને રોહિણી આયોગની ભલામણો મહત્વની છે. કાયમી બહિષ્કરણનો વરસો સુધી ભોગ બનેલા અને સતત વિચરણ કરતા આ સમુદાયોને કાયમી વસવાટ આપવો અને નવા કૌશલ્યો સાથે તેમના રોજગારની વ્યવસ્થા કરવી તે સૌથી મોટો પડકાર છે. વિચરતા અને વિમુક્ત સમુદાયો ૧૯૪૭માં ૧૯૩ હતા આજે તે વધીને ૬૬૬ થયા છે. આખા દેશમાં તેમની વસ્તી લગભગ ૧૫ કરોડ હોવાનો અંદાજ છે. આટલો મોટો વસ્તી સમૂહ સાવ સ્વમાનહીન જીવન જીવતો હોય તે મોટો પડકાર છે.
ગુનેગારના લેબલમાંથી મુક્ત થઈને દેશના બીજા સામાન્ય નાગરિકોની જેમ સમાન નાગરિક તરીકે તેમનું સ્થાન હજુ દોહ્યલું છે. એટલે ઓળખનું સંકટ ભારે છે. તેમના પ્રત્યેના સામાજિક પૂર્વગ્રહો અને માનસિકતા અઝાદીના આટલા વરસો પછી ખાસ બદલાયા નથી. D N T s, Nomadics અને Semi Nomedics ટ્રાઈબ્સ કથિત મુખ્યધારાના સમાજથી કપાયેલા કે બહિષ્કારનો ભોગ બનેલા હોઈ તેમને શિક્ષણ અને આરોગ્યની પાયાની સગવડો મળતી નથી. શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું છે અને વૈજ્ઞાનિક સમજનો અભાવ છે. રોજગારનું સંકટ તેમના લમણે કાયમી લખાયેલું છે. વર્તમાનમાં તેમને સામાજિક સન્માનને બદલે પૂર્વગ્રહો આધારિત માનસિકતા સહેવી પડે છે. આપણી આસપાસનો સમાજ આ જાતિઓ કે સમુદાયો માટે કેવી હીણી માનસિકતા ધરાવે છે તે વિચારવા જેવી બાબત છે.
દર વરસે ૩૧મી ઓગસ્ટ આવે છે અને જાય છે. વિમુક્ત સમુદાયો તેને ખરી આઝાદીના દિવસ તરીકે મનાવે છે. તેનું આગવું મહત્વ પણ છે જ. પરંતુ ખરેખર તો તેમનો વિમુક્ત દિવસ ભારતીય બંધુ-ભગિનીઓના પૂર્વગ્રહો અને માનસિકતામાં બદલાવમાંથી મુક્તિનો દિવસ બનવો જોઈએ.વંચિત અને ઉપેક્ષિત એવો વિમુક્ત સમુદાય બરાબરીનો હક અને શિક્ષણ તથા રોજગારની તક માંગે છે.૧૯૫૨માં તેમને વિમુક્ત કર્યે તો સાડા સાત દાયકા થવા આવ્યા છે છતાં તેમની પીડાનો હજુ અંત આવ્યો નથી. સ્વતંત્રતા, સમાનતા અને ગરિમાપૂર્ણ જીવનની તેમને હજુ પણ પ્રતીક્ષા છે.
વિચરતા અને વિમુક્ત સમુદાયોના પરંપરાગત ધંધા-રોજગાર માટે અને નવા આધુનિક કૌશલ્યો માટે તેમને તાલીમ અને આર્થિક સુવિધાઓ આપવાની જરૂર છે. તેમનું વિચરણનું જીવન તેમના બાળકોના ભવિષ્ય પર માઠી અસર કરે છે. એટલે તેમનો સ્થાયી વસવાટ પણ વિચારવાનો અને અમલમાં મુકવાનો મુદ્દો છે. આ સમુદાયો વિવિધ સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવે છે એટલે તે એકરૂપ સમુદાય નથી.તેથી તેમની એકતા અઘરી છે. તેમની આર્થિક કઠણાઈઓ બેન્કો અને બીજી નાણાકીય સંસ્થાઓની સહાયથી ઉકલે, કાયમી વસવાટ અને જીવન યોગ્ય દરમાયો મળે તેવો રોજગાર આપી શકાય અને સ્વમાનથી જીવી શકે ત્યારે જ તેમનું વિમુક્ત થવું સાર્થક ઠરે.
-
સૂરજનો ઝૂરાપો
હળવા નિબંધો
માવજી મહેશ્વરી
સરસ ઉઘાડ નીકળ્યો છે. મેઘરાજાએ ધરાને તૃપ્ત કરી દીધા પછી સૂર્ય નારાયણે સમયસર મોં બતાવ્યું છે. આઠેક દિવસ એકધારી વાદળાની જમાવટ, વીજળી, મેઘગર્જના ક્યાંક છાંટા, ક્યાંક રીમઝીમ તો ક્યાંક રમઝટ બોલાવી દઈને વરુણદેવે વિદાય લીધી. હજુ થોડા દિવસ પહેલાં આકાશ આગ ઓકતું હતું. સમસ્ત સૃષ્ટિને બાળીને ખાખ કરી દેવી હોય તેમ સવિતા નારાયણ તપ્યા હતા. અચાનક વાતાવરણ બદલાયું. કોઈ ગેબી દેશમાંથી ચડી આવેલા લશ્કરની જેમ વાદળોના દળ ખડકાઈ ગયા. તે પછી સમસ્ત જીવ જેની વાટ જોતા હતા તે મેઘરાજા પધાર્યા. સૌના માંહ્યલા તૃપ્ત થયા, ધરતીને ઠંડક થઈ ગઈ. આ વચ્ચે બીજી એક ઘટના બની. અઠવાડિયા લગી આકાશ અને અવકાશી પીંડોને વાદળોએ ઢાંકી દીધા હતા. એક અઠવાડિયામાં તો લોકો સૂરજનું મોં જોવા ઉતાવળા, અધીરા થઈ ગયા. જે સૂરજ થોડા દિવસ પહેલાં ત્રાહિમામ કરાવી દેતો હતો, એ જ સૂરજની ગેરહાજરી અસહ્ય થઈ પડી હોય તેમ લોકો તડકો જોવા અધીરા બની ગયા. શું કારણ હશે?
જરા અટકીએ, કોઈ ઉતાવળો અભિપ્રાય આપતાં પહેલાં થોડીવાર વિચારીએ. કેટલાક તિક્ષ્ણ બુદ્ધિશાળી લોકો કહી દેશે કે માણસજાતને તો કાંઈ જ નથી પોષાતું. ન ગરમી, ન ઠંડી કે ન વરસાદ. આ અભિપ્રાય સાચો હોય તોય અધૂરો છે. હા, માણસજાતનો સ્વભાવ એવો છે ખરો. પણ અહીં આપણી, એટલે કે ભારતીય લોકોની વાત કરવી છે. આપણે ઠંડી વધુ પડે કે ઓછી, ચલાવી લઈ છીએ. ગરમી ઓછી પડે કે વધુ તોય ચલાવી લઈએ.. અરે! વરસાદ ત્રણ ત્રણ વરસ ન આવે તોય દુષ્કાળ વેઠી જઈએ છીએ. ચંદ્ર દેખાય કે ન દેખાય આપણને ઝાઝો ફરક પડતો નથી. પરંતુ સૂરજનો ઝૂરાપો આપણને અસહ્ય થઈ પડે છે. જો ચાર પાંચ દિવસ સૂરજ ન દેખાય તો આપણને અસુખ થઈ પડે છે. સૂરજને જોવા, તડકાને પીવા આપણે ઉતાવળા થઈ જઈએ છીએ. શું કારણ હશે?
અહીં ઉપર ઉપરથી વિચારીને આપી દઈએ તો અનેક જવાબો મળી જશે. પણ એવું કરવાને બદલે થોડા ખાંખાખોળાં આપણી અંદર કરીએ. જરા આપણા પૂર્વજોના પગલાં તપાસીએ. સાચા જવાબો જરૂર મળશે. હા, વિજ્ઞાન કહે છે સૂર્ય આ જગતનું ચાલાક બળ છે. સૂર્ય થકી જ આ સૃષ્ટિ છે. સૂર્ય છે તો જીવન છે. પણ અહીં તો આપણે ભારતીયોએ આપણી જ રગને જાણવાની છે કે સૂરજ સાથે એવો તે કયો નાતો છે કે આપણને એના વગર ચાલતું નથી? આપણાં શાસ્ત્રોમાં સૂર્યની કેટલીય પૂજાઓ પડેલી છે. અનેક વિધિ વિધાનો સમાયેલા છે. અરે! આજે પણ સવારે સૂર્યને વંદન કરનારા કે જળનો અર્ઘ્ય આપનારા અનેક લોકો દેખાશે. કેટલાક તો સૂર્ય ન દેખાય, વાદળ પાછળ ઢંકાયેલો હોય તોય પૂર્વ તરફ માથું ઝુકાવીને નિત્ય કાર્ય આરંભે છે. વિજ્ઞાન કહે છે કે સૂર્ય આપણો સૌથી નજીકનો તારો છે. એના પ્રકાશથી આપણે જીવી શકીએ છીએ. શું સૂર્ય સાથે આપણો ખરેખર એટલો જ સંબંધ છે? ના ભારતીય લોકો માટે સૂર્ય કેવળ અવકાશી પીંડ માત્ર નથી. એનાથી સકળ જીવ સૃષ્ટિ છે, એનાથી પાણીની વરાળ બને છે, વાદળા બંધાય છે, વરસાદ પડે છે. એના સિવાય પણ સૂર્ય સાથે આપણો એક જુદો નાતો છે. સૂર્ય આપણી ચેતના આપણાં શરીરની ક્રિયાઓ અને આપણા મન સાથે જોડાયેલો છે. સૂર્ય આપણા ગમા-અણગમા, આનંદ-ઉદાસી, વિયોગ-મિલન સાથે જોડાયેલો છે. સૂરજ સામે જયારે વાદળાં આવી જાય છે, ત્યારે એ વાદળા કેવળ સૂરજને ઢાંકી દેવાં પૂરતાં રહેતાં નથી. એ વાદળાં આપણા મનના સૂરજ આડે પણ આવી જાય છે. બધું ધૂંધળું થઈ જાય છે. અને એટલે જ આપણને બેચેની થઈ પડે છે. ક્યારે હટે આ વાદળા? ક્યારે પથરાઈ જાય પ્રકાશ? ક્યારે બધું ઉજાસમય થઈ ચમકી ઉઠે! એની વિહ્વળતા આપણને ઉદાસ બનાવી મૂકે છે.
આપણે ભારતીયો અન્ય પ્રજાથી થોડા જુદા છીએ. હા, આજે અંગ્રેજી ક્લ્ચર એટલે કે પાશ્ચાત્ય ક્લ્ચરનું એક ચિત્ર લઈને જીવતા ભારતીય લોકો છે જ. એમને ભારત ઓર્થોડોક્સ લાગે છે. કેટલીક ચીજો નકામી અને પુરાણી લાગે છે. અહીં મારે કોઈ સંગઠનવાદીની જેમ સ્વદેશીના ગાણાં નથી ગાવાં. પાશ્ચાત્ય ક્લ્ચર ત્યાંની ભૂગોળ અનુસાર વિક્સ્યું છે. એ એની રીતે સાચું છે. પણ જયારે આ દેશની ધરતી પર પાશ્ચાત્ય ક્લ્ચરને લાવવું હોય તો એનું ભારતીયકરણ કરવું પડે. નહીંતર કાં ફારસ ઉભા થાય કાં વિગ્રહ! આના માટે એક ઉદાહરણ પુરતું થઈ પડશે. અમેરિકા એક એવો દેશ છે જેની અસર સમગ્ર વિશ્વના દેશો પર છવાયેલી છે. ભારતીયો પણ વાત વાતમાં અમેરિકાના વખાણ કરે છે. હવે સંસ્કૃતિ શું ચીજ છે એ વિચારીએ, તો અમેરિકાની પ્રજા કૂતરાં સાથે જોડાયેલી છે. આપણને જેટલી ગાય પ્રિય છે એટલો જ એમને કૂતરો વહાલો છે. આપણાં જીવનમાં ગાય વણાયેલી છે ત્યાં કૂતરો વણાયેલો છે. એક ભારતીય અમેરિકાની ધરતી પર જઈને કૂતરાને ભારતીય રીતે જોશે તો અમેરિકન એને સમજી નહીં શકે. કારણ અમેરિકન કૂતરા સાથે ખાઈ-પી શકશે. ભારતીય તેમ નહીં કરી શકે. એવી રીતે જો ભારતીય અમેરિકાની ધરતી પર ગાયના ગુણગાન ગાશે તો અમેરિકન એ સ્વીકારી નહીં શકે! આ છે સંસ્કૃતિ!
સંસ્કૃતિને ઘડનારા તત્વોમાં પ્રમુખ પરિબળ ભૂગોળ છે. કેટલાક લોકો રાતોરાત સમાજને સુધારી નાખવાની નેમ લઈને બેઠા છે. એ ઇતિહાસ તરફ આંગળી ચીંધીને કહે છે, પેલા દેશના લોકો આવું કરી શક્યા છે, ફલાણા દેશમાં આવા મહાપુરુષો થઈ ગયા. એમને કેમ સમજાવવુ કે દરેક પ્રજા જે કરી રહી છે કે જે માન્યતાઓ સંઘરીને બેઠી છે એના માટે એમની ભૂગોળ જવાબદાર છે. ભૂગોળ ઇતિહાસને જન્મ આપે છે. આપણાં દેશની ભૂગોળે ઇતિહાસ રચ્યો. દુનિયાભરની પ્રજાને આ દેશની સમૃધ્ધ ભૂગોળ જ ખેંચી આવી. આપણે જે કાંઈ છીએ એ આપણી ભૂગોળ થકી છીએ. આપણી ભૂગોળ આપણી માનસિકતા ઘડે છે અને ભારતીયોની માનસિકતા હંમેશા પ્રકૃતિ તત્ત્વો સાથે જોડાયેલી રહી છે. પ્રકૃતિ આપણું રોજીંદું જીવન છે. ભારતમાં એવાય લોકો છે જે રાતે ખુલ્લામાં સુએ અને તારા જુએ તો જ એમને ઊંઘ આવે. ચંદ્ર, તારા, સૂરજ, પવન, નદી ડુંગર, વૃક્ષો, પંખી આપણા જીવનમાં વણાયેલા છે. એ આપણા મનના અગોચર ખૂણામાં પોતાની આગવી જગ્યા બનાવીને બેઠા છે. એ જગ્યા આપણે ખાલી કરીને અન્ય વસ્તુઓથી ભરવાનો પ્રયત્ન કરીએ છીએ. એવું થઈ શકતું નથી એની આપણને ખબર નથી. આપણે ભારતીયો આપણા શરીરને ફક્ત મશીન નહીં બનાવી શકીએ. ક્યારેય નહીં.
સૂરજ એ રીતે આપણા લોહીમાં સમાયેલો છે. આપણાં શાસ્ત્રોમાં સૂર્ય ઉપાસનાનું મહત્વ છે. સૂર્ય જગતની ઉર્જાનું ચાલકબળ છે. સૂર્ય જડ-ચેતન સૌને જગાડે છે. આપણે ઈચ્છીએ કે ન ન ઈચ્છીએ તોય, રાત પડે આપણને ઊંઘ આવી જાય છે અને સવાર થાય ત્યારે શરીર આપોઆપ જાગી જાય છે. શું છે આ? આપણું શરીર અને મન અદશ્ય રીતે સૂર્ય સાથે જોડાયેલા રહે છે. તેથી જ આપણું શરીર સૂર્યની સાથે તાલ મેળવે છે. જયારે આ તાલ તૂટે છે ત્યારે અકળામણ થાય છે. સૂરજ આપણો રોજનો સાથીદાર છે. સૂરજ રાતભરની ઉદાસી દૂર કરી દે છે. કપરા સમયની રાત વિતાવવી મુશ્કેલ બને છે ત્યારે પૂર્વમાં પથરાતું અજવાળું એક હિમત જગાવે છે. આ છે સૂરજ અને આપણાં મનનો નાતો. આપણે ઈચ્છીએ કે વરસાદ વરસતો જ રહે. આપણી આવી લાખ ઈચ્છા છતાં સૂરજનો લાંબો વિયોગ આપણે સહન નહીં જ કરી શકીએ.
લ્યો ત્યારે આવજો. રામ, રામ.
શ્રી માવજીભાઈ મહેશ્વરીનો સંપર્ક mavji018@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
નીતર્યાં જળમાં પારદર્શક પ્રતિબિંબ
મંજૂષા
વીનેશ અંતાણી

સ્વચ્છ નદીના જળમાં તળિયા સુધીનું બધું સ્પષ્ટ જોઈ શકાય છે. એ જ નદીનું પાણી કાદવથી ડહોળાયેલું હોય તો કશું જોઈ શકાતું નથી. એ જ રીતે સરકારી વહીવટ, શિક્ષણ, જાહેર સંસ્થાઓ, ધાર્મિક સ્થળો અને સંબંધોમાં એમ જીવનનાં દરેક ક્ષેત્રોમાં પારદર્શકતા હોવી જરૂરી છે. જાહેર ક્ષેત્રોનું સંચાલન આપણા હાથમાં ન હોય, પરંતુ અંગત સંબંધોમાં પારદર્શક રહેવું આપણા હાથમાં છે.
પારદર્શક વ્યવહારથી સંબંધોમાં અરસપરસ વિશ્વાસનું વાતાવરણ રચાય છે. લોકો જાણતાં કે અજાણતાં એમની લાગણી, વિચારો, અભિપ્રાયો મન ખોલીને વ્યક્ત ન કરે તો સંબંધોમાં અસત્યો અને અર્ધસત્યોનું પ્રમાણ વધવા લાગે છે અને અપ્રામાણિકતા પ્રવેશે છે. એમની વચ્ચે આશંકા અને અવિશ્વાસ જાગે છે અને સંબંધોમાં તિરાડ પડવા લાગે છે. એક વાર તિરાડ પડે પછી સંબંધો સહેલાઈથી સાંધી શકાતા નથી.
પારદર્શકતા દરેક અંગત સંબંધોની મૂલ્યવાન મૂડી છે. સાચા સંબંધોમાં કશું છુપાવવાનું ન હોય. લાગણીઓ અને વિચારોને વ્યક્ત ન કરવાથી સંબંધોમાં એક પ્રકારની ખામોશી આવી જાય છે. ખોમોશીની દીવાલ ઊચીને ઊંચી વધવા લાગે તે પહેલાં મન ખોલીને વાત કરી લેવી જોઈએ. બારીના કાચ ધૂળ અને કચરાથી મેલા થઈ જાય તો એની આરપાર જોઈ શકાતું નથી. બધું ધૂંધળું થઈ જાય છે. એ જ રીતે સંબંધો અને વ્યવહારમાંથી પણ ખુલ્લાપણાંની બાદબાકી થવા લાગે ત્યારે વ્યક્તિઓ એકમેકને સ્પષ્ટપણે જોઈ શકતી નથી, અવિશ્વાસ અને આશંકાનાં જાળાં બાજવા લાગે છે.
ઘણા લોકોના સ્વભાવમાં નિખાલસતાનો અભાવ હોય છે. કેટલાક તો એને પોતાની મુત્સદ્દીગીરી માને છે અને એમને ખબર પણ ન પડે તેમ તેઓ એકલા પડતા જાય છે.
એક યુવાન દંપતીનાં લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયાં હતાં. બંને વચ્ચે ખૂબ પ્રેમ અને સમજણ. બધું બરાબર ચાલતું હતું, ત્યાં પત્નીને અચાનક લાગવા માંડ્યું કે એનો પતિ એને દૂર રાખવા લાગ્યો છે. એ ખુલ્લીને વાત કરતો નથી. પછી તો પતિ રોજ સાંજે ઑફિસથી મોડો આવવા લાગ્યો. એના ચહેરા પર ચિંતાની રેખાઓ વધવા લાગી હતી. પત્નીને સમજાતું નહોતું કે પતિને શું થઈ ગયું છે. એને અમંગળ વિચારો આવવા લાગ્યા. શું એ હવે એને પ્રેમ કરતો નથી? એના જીવનમાં બીજી સ્ત્રી આવી છે? એ પતિને પૂછી લેવાનો વિચાર કરતી, પરંતુ એને બંધ પેટી જેવો થઈ ગયેલો જોઈ હિંમત કરી શકતી નહોતી. એમનું જીવન શુષ્ક થવા લાગ્યું હતું. થોડા દિવસ પછી પતિના મિત્ર અને સહકાર્યકર્તાની પત્ની પાસેથી જાણવા મળ્યું કે એમની કંપની મોટા પાયે સ્ટાફની છટણી કરવાનું વિચારી રહી છે. એને તરત પતિના બદલાયેલાં વર્તનનું કારણ સમજાઈ ગયું. એ રાતે એણે રડતાંરડતાં પતિ પાસે મન ખોલ્યું – ‘તમારા પર આટલું બધું વીતે છે, છતાં તમે મને વાત પણ ન કરી? હું તમારી અર્ધાંગિની છું. મને તમારી ચિંતા જણાવી હોત, મારી સાથે વાત કરી હોત, તો તમારે એકલાએ સહન કરવું પડ્યું ન હોત અને મારા મનમાં તમારા માટે બેહુદી શંકાઓ જન્મી ન હોત.’ પતિ એની પ્રિય પત્નીને ચિંતાઓથી દૂર રાખવા માગતો હતો, પરંતુ એ કારણે એમની વચ્ચે અપારદર્શક દીવાલ ઊભી થઈ હતી. એ સ્થિતિ એમના લગ્નજીવન માટે બહુ મોટો ખતરો બની શકી હોત. પત્નીએ પણ એકવાર એને પૂછી લીધું હોત તો એને ગેરસમજ થઈ ન હોત.
જરૂર હતી બારીનો કાચ લૂછવાની. દરેક સંબંધની જેમ માતાપિતા અને સંતાનો વચ્ચે પણ પારદર્શકતા હોવી જરૂરી છે. સંતાન કોઈ ભૂલ કરે તો માતાપિતા અપેક્ષા રાખે છે કે એ એની ભૂલ કબૂલ કરે અને માફી માગે. એ જ રીતે માતાપિતાથી કોઈ ભૂલ થાય કે એમનું વર્તન અયોગ્ય હોય તો તેઓ પણ એમનાં સંતાનને કહી શકે – અમે ખોટાં હતાં.
એક વાર દસ વર્ષના પુત્રની સામાન્ય ભૂલથી પિતા એના પર ખૂબ ગુસ્સે થઈ ગયો. એણે પુત્ર સાથે અપમાનજનક વર્તન કર્યું. પુત્ર આખો દિવસ રૂમમાં ભરાઈને બેસી રહ્યો. બપોરે જમ્યો નહીં. પિતા પોતાના વર્તન માટે ક્ષોભ અનુભવતો હતો, પરંતુ પુત્ર સામે ખુલ્લો પડવા માગતો નહોતો. દીકરો રાતે પણ જમવા આવ્યો નહીં ત્યારે પિતાની અપારદર્શકતાની દીવાલ તૂટી પડી. એ દીકરા પાસે ગયો અને કહ્યું, ‘મેં આજે તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે, સૉરી.’ દીકરો પિતા ભેટી પડ્યો. એણે પણ એની ભૂલ કબૂલી. બંનેનાં આંસુઓથી એમના સંબંધોની નદીનું ડહોળાયેલું પાણી નીતર્યું થઈ ગયું. બંને જણ એકબીજાનાં મનનાં સાફ તળિયાં જોઈ શક્યા.
પારદર્શકતાની પણ સીમા હોય છે. જરૂરી નથી કે આપણા વિશેનું બધું જ દરેક જણ સામે પ્રગટ કરવું જોઈએ. દરેક વ્યક્તિ ત્રણ પ્રકારનાં જીવન જીવે છે – જાહેર, વ્યક્તિગત અને તદ્દન અંગત. જાહેરજીવન દુનિયા માટે છે, વ્યક્તિગત જીવન પરિવાર, મિત્રો અને નજીકનાં સંબંધીઓ માટે છે, જ્યારે તદ્દન અંગત જીવન વ્યક્તિનું પોતાનું જ હોય છે. એમાં દરેક વ્યક્તિને પ્રવેશ આપી શકાતો નથી બધી દીવાલો કાચની હોય અને ત્યાં પરદા લગાવ્યા ન હોય એવા ઘરમાં રહી શકીએ નહીં. પારદર્શકતાનો અર્થ એટલો જ કે દુનિયા સામે આપણો દરવાજો ખોલીએ ત્યારે એની પાછળ કોઈ બનાવટ છુપાયેલી ન હોય. વાણી-વર્તન-ઇરાદા અને આપણાં કામ વચ્ચે અંતર જણાય નહીં. આપણે આપણાં પ્રિયજનોને દુ:ખ, નિષ્ફળતા કે નિરાશાથી મુક્ત જીવનનું વચન આપી શકતા નથી. પરંતુ એમને બહુમૂલ્ય ભરોસો આપી શકીએ કે એમને આપણો અસલી ચહેરો શોધવાની જરૂર નહીં પડે.
હૃદય પારદર્શક હશે તો જીવન નદીના નીતર્યાં પાણી જેવું બની જશે. એવાં સ્વચ્છ પાણીમાં જોનારનાં પ્રતિબિંબ પણ આપોઆપ નિર્મળ બની જશે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો
-
શ્રાવણનો આ સરતો મહિનો
દેવિકા રાહુલ ધ્રુવ
શ્રાવણનો આ સરતો મહિનો, ક્યાં છે સૌનો કાનો,
ગોતીગોતી થાકી આંખો, ના દેખાય યમૂનાનો કાંઠો.વસુદેવ ને દેવકી લઈને આવે જેલની યાદો,
નંદ-જશોદા બાંધી બેઠાં ક્યારનો મનમાં માળો,
લાગણીઓ તો લળીલળીને રમવા માંડી રાસો,
ઉજાગરાએ માંડ્યો હવે લો, રાતનો અહીં વાસો,
શોધીશોધી થાકી આંખો, ના દેખાય મન-મંદિરનો માધો.ખોટી મટકી, માખણ લઈને, ગોરસ વહેંચુ ઘાટો,
નીકળ, છબીની બહાર હવે ને, તોડ પીડાની વાડો,
ખૂબ મનાવું પ્રેમથી તુજને, રહે નહિ હવે આઘો,
છાને પગલે આવીઆવી, સ્પર્શી લે સ્નેહથી વાંસો,
ખોળીખોળી થાકી આંખો, ના દેખાય વ્રજનો વ્હાલો.શ્રાવણનો આ સરતો દા’ડો, ક્યાં છે સૌનો કાનો,
શોધીશોધી થાકી આંખો, ના મળતો છેલછોગાળો.
Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
-
અપૂર્ણ સંસાર
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
“પૂરણપોળી ભાવી હોય તો એક વધુ…..ખવાઈ જશે .”
કવિતાએ પોતાના પતિ વિવેકના બૉસ શુભમ સક્સેનાની થાળીમાં એક વધુ પૂરણપોળી પીરસી. ઘીની સોડમથી શુભમનું મન તરબતર થઈ ગયું.
“આટલું તો એ ક્યારેય ખાતો નથી અને આજે ….પેટ ભરાઈ ગયું, પણ મન નથી ભરાયું. આવું સ્વાદિષ્ટ ખાવાનું બનાવતા ક્યાંથી શીખ્યાં?” શુભમના અવાજમાં પ્રસંશા અને પ્રસન્ન્તા હતી..
પોતાની પ્રસંશા સાંભળીને કવિતા શરમાઈ.
“સર, કવિતા એકદમ ઘરેલુ છે. આવી ઘરેલુ સ્રીઓ વળી ક્યાં કૂકરી ક્લાસમાં જતી હોય, એ તો ઘરમેળે જ શીખી છે.” કવિતાના બદલે વિવેકે ઉત્તર વાળ્યો.
“એક વાત કહું વિવેક? ગૃહસ્થી સંભાળવી સહેલી નથી. આજકાલ પત્ની ‘હોમમેકર’ હોય એ નિરાંતની જ નહીં ગૌરવની વાત છે.” શુભમે વિવેકની વાતને રદિયો આપી દીધો.
“અરે સર, ગૃહસ્થી સંભાળવામાં ક્યાં કોઈ ક્વૉલિફિકેશનની જરૂર છે?” વિવેકે પાંગળો બચાવ કર્યો.
“સમર્પણ, ત્યાગ જેવા ક્વૉલિફિકેશન જોઈએ જે આજકાલ બહુ ઓછી પત્નીમાં હોય છે. પત્ની હોવું અને પરફેક્ટ ગૃહિણી હોવું બંનેમાં ફરક છે. મારા મતે ગૃહસ્થજીવન પણ તપોભૂમી જ છે.
“એકવાર હું અને મેઘા હોટલમાં જમવા ગયાં હતાં. ફાઇવસ્ટાર હોટલના વાતાનુકૂલિત ડાઇનિંગરૂમમાં જમીન પર રેશમી ગાદી-તકિયા પાથરેલાં હતાં. સરસ મઝાના બાજોઠ પર મૂકેલી થાળીમાં પરંપરાગત ખાવાનું પીરસાયું. છરી-કાંટા કે ચમચીના બદલે હાથથી ખાવાનું હતું. આપણી વર્ષો પહેલાંની પરંપરા પર આપણને શરમ આવતી એ ‘સ્ટાઇલ-આઇકન’ બની છે. જમીન પરથી ઊઠીને ફરી હવે મોંઘા દામ આપીને હોટલમાં નીચે જમીન પર બેસીને જમવા જઈએ છીએ. જોકે, હાથથી જમવામાં ગજબ સંતોષ થયો હતો.”
“સર, બધાંને ક્યાં રસોઈ આવડે ? હવે તો ઘરમાં રહીનેય ખાવાનું બનાવવા બાઈ રાખે છે.”
“હશે, પણ કવિતાની રસોઈમાં જે સ્વાદ હતો એ કોઈ બાઈના હાથનો નહોતો. મને આજે અમારાં સૌ માટે ભાવતું ભોજન બનાવતી મારી મા યાદ આવી ગઈ. આખો દિવસ કામ કરતી છતાં એના ચહેરા પર તાજગી જોવા મળતી. સાંજ પડે થાકીને આવેલા પિતાજી એનો હસતો ચહેરો જોતા અને એમનો થાક ઉતરી જતો. આજે તમનેય એ જ પ્રેમથી જમાડતી કવિતાને જોઈને મને ઈર્ષ્યા આવે છે. અમારા ઘરમાં કૂક એટલી વિવિધ વાનગીઓ બનાવે છે કે જોઈને શું ખાવું, શું ના ખાવું એ વિચારવું પડે. ત્યારે આવી રીતે આગ્રહ કરીને કોઈ જમાડે તો એ ભોજનનો સ્વાદ અને આનંદ બેવડાઈ જાય.”
જમીને શુભમ જવા નીકળ્યો ત્યારે એને વિદાય આપતા કવિતા બોલી, “ફરી આવો ત્યારે મેઘાબહેનને જરૂર લઈને આવજો.”
******
શુભમના જતાની સાથે જ બૉસની હાજરીમાં વિવેક સાચવીને બેઠેલા પતિએ સંયમ ગુમાવ્યો.
રસોઈ સરસ બની હતી, કવિતાએ ભારે સૌજન્યપૂર્વક બૉસને સાચવ્યા એ વિશે પ્રસંશાના બે શબ્દો કહેવાના બદલે બૉસ આવ્યા ત્યારે વ્યવસ્થિત તૈયાર ન થવાથી માંડીને ઘરની મોંઘી ક્રોકરીના બદલે રોજિંદા વપરાશની ક્રોકરીમાં બૉસને જમવાનું પીરસવા સુધીનું લાંબુ ભાષણ કવિતાને માથે ઠોકી દીધું. લાંબા ભાષણના અંતે કવિતાને દુનિયાદારીની સમજ નથી, એવું સર્ટિફિકેટ પણ આપી દીધું.
વાત જાણે એમ હતી, કે વિવેકે બૉસની સાથે પાર્ટીમાં મેઘાને જોઈ ત્યારથી એ મનોમન મેઘા અને કવિતા વચ્ચે સરખામણી કરતો થઈ ગયો હતો.
વિવેક જ્યારે લગ્નની ઉંમરે પહોંચ્યો ત્યારે એના માટે સુયોગ્ય કન્યાની શોધ શરૂ થઈ ત્યારે એણે ઘણી યુવતીઓને નાપસંદ કરી હતી. એમાંની આ એક મેઘા હતી.
કારણ ? કારણ કે મેઘા સેલ્સગર્લ હતી. સામાન્ય ઘરની મેઘાનાં સપનાં ઘણાં બુલંદ હતાં. મેઘાના આત્મવિશ્વાસથી એ પ્રભાવિત થયો હતો. પણ, એક સેલ્સગર્લ કરી કરીને કેટલી પ્રગતિ કરે?
વળી ઘરમાંય મેઘા માટે સૌના મંતવ્ય અલગ હતાં. મેઘા જ નહીં એ વખતે જોયેલી અનેક યુવતીઓ અંગે મા, બહેનો સાથે ઘરમાં ચર્ચા થતી. વિવેક પોતે કોઈ નિર્ણય પર આવી શકતો નહોતો. કોઈનો દેખાવ તો કોઈની વાત કરવાની રીત, કોઈનું કદ તો કોઈનાં રંગરૂપ સામે વિવેકને વાંધો પડતો પરિણામે વધતી ઉંમર, માથેથી ઘટતા વાળની જેમ સર્વગુણ સંપન્ન કન્યાઓની યાદી ઘટતી ચાલી.
પાંચ-પાંચ વર્ષ સુધી મેળ પડ્યો નહીં. ભૂતકાળમાં નાપસંદ કરેલી યુવતીઓ પણ પરણીને ઠરીઠામ થઈ ગઈ. અંતે કવિતાને પસંદ કરી. કવિતા સંસ્કારી હતી, ગૃહિણી તરીકે કુશળ હતી પણ દેખાવમાં અન્ય યુવતીઓ કરતાં સામાન્ય હતી.
કવિતા એની પસંદ નહીં, મનનું સમાધાન હતી. આ સમાધાન કરતી વખતેય આગળ જોયેલી અનેક યુવતીઓ આંખ સામે આવી જતી. સતત એ સૌના દેખાવની સરખામણી કવિતા સાથે થઈ જતી.
એમાંય જ્યારે એ પાર્ટીમાં શુભમ સાથે મેઘાને મળવાનું થયું ત્યારથી એને મેઘાને નાપસંદ કરવા માટે અનહદ અફસોસ થયો. મેઘામાં આત્મવિશ્વાસ તો હતો જ અને હવે ધનાઢ્ય શુભમ સાથે પરણીને એ દેખાવ, વાણી, વર્તનથી જરા વધુ જ સફાઈદાર અને સ્ટાઇલિશ લાગતી હતી.
બસ, ત્યારથી કવિતા તરફ વિવેકની ચીઢ વધતી ચાલી, પણ એને ક્યાં ખબર છે કે શુભમ આજે કવિતાને નાપસંદ કરવા માટે પસ્તાઈ રહ્યો છે !
શુભમ અને કવિતાની સીધી મુલાકાત થઈ નહોતી. દૂર દેખાતી યુવતી તરફ ઈશારો કરીને માએ કહ્યું હતું,
“ભલે અન્ય યુવતીની સરખામણીમાં એ યુવતી સાદીસીધી દેખાય છે, પણ વ્યવહારકુશળ છે, રસોઈમાં પારંગત છે. જો તારી નજર ઠરે તો મુલાકાત ગોઠવીએ.”
પણ, દૂરથી…ઘણે દૂરથી એ યુવતીને જોઈને એને મળવાનું મન થયું નહીં. બે વર્ષ પછી મેઘા એના જીવનમાં આવી.
આજે દૂરથી જોઈને નાપસંદ કરેલી કવિતાને નજીકથી જોઈ, જાણી, ઓળખી ત્યારે એને પોતાની ભૂલ પર પારાવાર પસ્તાવો થયો અને વિવેકના નસીબ પર ઈર્ષા થઈ.
ક્યાં ઊડતાં પંખી જેવી, વર અને ઘર પ્રત્યે બેફિકર મેઘા અને ક્યાં વર અને ઘરની પળેપળે ફિકર કરતી કવિતા !?
ક્યાં મહારાજ પાસે રસોઈ બનાવડાવતી, જમવા ખાતર સાથે જમતી મેઘા અને ક્યાં મહેમાનને જ નહીં પતિને પણ આગ્રહપૂર્વક જમાડતી કવિતા !?
સાંજ પડે ઘેર આવે ત્યારે મેઘા એની રાહ જોતી હોય, વિચારોની આપલે કરતાં કરતાં સાથે બેસીને જમતાં હોય એવું કેટલીય વાર ઝંખ્યું હતું !?
કાશ, એ વખતે આધુનિક, મહત્વકાંક્ષી યુવતીની અપેક્ષા ન રાખી હોત અને સીધીસાદી કવિતાને પસંદ કરી હોત તો અત્યારે સુખ-શાંતિભર્યું જીવન જીવતો હોત.
ઘેર પહોંચ્યો ત્યારે એની હાજરીની નોંધ સુદ્ધાં લીધા વગર મેઘા લેપટૉપ પર કામ કરતી રહી.
રેડિયો પર સંભળાતા ભુપેન્દ્ર સિંઘના ગીત સાથેસાથે એ ગણગણતી હતી.
कभी किसिको मुकम्मल जहा नही मिलता
कही जमी तो कही आस्मा नही मिलता …‘વાત તો સાચી જ ને?’ ગીતના શબ્દો સાંભળીને શુભમ જરા હસ્યો.
મીનુ ત્રિપાઠી લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ઝાટકો
સ્નેહા પટેલ
શોભમનું બારમા ધોરણનું પહેલી ટેસ્ટનું પરિણામ આજે આવી ગયું હતું અને નવાઈજનક રીતે એમાં શોભમ માત્ર ને માત્ર બાવન ટકા ગુણ જ મેળવી શક્યો હતો. રીઝલ્ટકાર્ડ હાથમાં હતું અને શોભમને પોતાને પોતાની આંખો પર વિશ્વાસ નહતો થતો. એ ભણવામાં હોશિયાર હતો, પૂરેપૂરો ‘ડેડીકેટેડ’ ‘ફોકસ્ડ’ અને મહેનતુ છોકરો હતો. સ્માર્ટનેસમાં કોઈ કમી નહતી. અત્યાર સુધી સ્કૂલમાં દરેક કક્ષામાં એક્ધારો નંબર વન પકડી રાખ્યો હતો. ૯૦ ટકાની નીચે ક્યારેય ગયો નહતો – તો આજે અચાનક આ શું થઈ ગયું ?
ઘરે જઈને સ્કૂલબેગ સોફામાં ફેંકી અને બીજા સોફામાં પોતાની જાતને ફેંકી. ગળાની ટાઈની ગાંઠ ઢીલી કરતો હતો ને મમ્મીનો અવાજ કાનમાં પડ્યો,
‘શું થયું બેટા ? કેમ આટલો થાકેલો ને નિરાશ દેખાય છે ? બહુ ભૂખ લાગી છે કે ? ચાલ થાળી પીરસી દઉં.’
‘ના મમ્મી, રિસેસમાં સેન્ડવીચ અને કોફી પીધેલા તો ભૂખ તો એવી કંઈ ખાસ નથી પણ આજે મારું રીઝ્લ્ટ હતું અને એ બહુ જ ઓછું આવ્યું છે.’
હકીકતથી સહેજ પણ ડર્યા વિના પૂરેપૂરી પ્રામાણિકતાથી શોભમે મમ્મીને કહ્યું.
શોભમની મમ્મી ઋત્વી પણ બે મિનિટ થંભી ગઈ અને વળતી પળે પોતાની જાત પર કાબૂ મેળવીને શોભમના વાળમાં હાથ ફેરવતી બોલી,
‘અરે પણ આ તો પહેલી ટેસ્ટ છે, થાય આવું બધું. ઘણાં વિદ્યાર્થીઓ સાથે આવું થાય જ છે. એમાં આમ નાસીપાસ નહીં થવાનું. શું આવ્યું પરિણામ, બોલ.’
‘બાવન ટકા.’
‘ઓહ…’ વાત બહુ નાજુક હતી એની ગંભીરતા ઋત્વી પૂરેપૂરી સમજતી હતી એટલે આગળ બોલતાં પહેલાં પોતાની જાતને પૂરેપૂરી સંભાળી લીધી.
‘આવું થાય તો નહીં. પણ થયું છે એ હકીકત છે દીકરા. દરેક વાતની પાછળ કોઈક કારણ તો હોય જ ને ! તને શું લાગે છે ? તારા પેપર્સ કેવા ગયેલાં.?’
‘મમ્મી સાચું કહું ને તો મહેનત તો દર વખત જેટલી જ હતી પણ ખબર નહીં પેપર્સ જોઈએ એવા સંતોષકારક નહોતા ગયાં. રાતના બે-ત્રણ વાગ્યાં સુધી બેસીને બધો કોર્સ સંપૂર્ણ કંપ્લીટ કરેલો તો પણ પેપર્સ લખતી વખતે જોઈએ એટલું યાદ નહતું આવતું. મગજ થાકી જતું હોય એવું ફીલ થતું હતું.’
‘હમ્મ..તું તો દર વર્ષે રાતના વાંચીને ભણે છે તો આ વખતે જ કેમ આવું થયું? મને કંઈ સમજાતું નથી. કદાચ તારા ઉજાગરાની દિશા ખોટી તો નહતી ને ?’
અને શોભમના મગજમાં લાઈટ થઈ. રાતના લેપટોપ પર પાવરપોઈટ્સ અને ઇબુક્સ વાંચતા વાંચતા વચ્ચે આવતી જાહેરખબરોથી લલચાઈને એ નેટ પર અમુક એવી સાઈટ્સ પર જઈ ચડતો હતો જે એનું ફોકસ ભણવામાંથી હટાવી દેતી હતી અને એના કલાકોના કલાકો એમાં બગડતાં હતાં. ઉંમર નાજુક હતી એટલે આવી લાલચ થવી સ્વાભાવિક હતી. ઋત્વી અને એ મા દીકરો જ નહીં પણ પાકા દોસ્તારો હતાં. એણે પુત્ર તરીકેની મર્યાદા જાળવીને પૂરેપૂરી હકીકત એની મમ્મીને જણાવી દીધી. એને મમ્મીની સમજ અને લાગણી પર પૂર્ણ વિશ્વાસ હતો એટલે એણે એ પણ કબૂલ્યું કે,
‘મમ્મા, આ બધી સાઈટ્સ પર સમય વેડફવાની હવે જાણે કે ટેવ પડી ગઈ હોય એમ લાગે છે. હું હવે એ બધું સંપૂર્ણપણે છોડી દઈશ. ચિંતા ના કરો.’
અને ઋત્વીએ તરત જ શોભમને અટકાવ્યો,
‘દીકરા, મુખ્ય વાત એ છે કે તને તારી કમજોરીની, ટેવની ખબર પડી. હવે કોઈ પણ ટેવ અચાનક છોડી દઈએ તો એનું આકર્ષણ વધારે ઉથલો મારે અને એ તમને તમારું રૂટિન કામ પણ સખેથી ના કરવા દે. કોઈ પણ ટેવ ત્યારે જ પડે જ્યારે એનાથી તમને મજા આવતી હોય. અમુક ટેવ બિનહાનિકારક હોય છે એટલે એની ચિંતા નહી પણ અમુક ટેવ તમારી લાઇફ, કારકીર્દીને જોખમી હોય છે એનાથી સમજણપૂર્વક પીછો છોડાવવાનો હોય. તારા કેસમાં તારી ટેવની ખબર પડી ગઈ એ સૌથી મહત્વનું કામ થઈ ગયું. હવે તું એના સ્ટાર્ટીંગ પોઈંટ શોધ. કયા સમય અને કઈ હાલતમાં એની જરૂરત ઉદભવે છે એનું નિરીક્ષણ કર. એ ટેવની જરુરત જ્યારે ઊભી થાય ત્યારે જ તું એ જગ્યાએથી, સ્થળેથી અલગ થઈ જા અને મગજને બીજે ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કર.પણ આ બહુ જ સ્વાભાવિક રીતે થવું જોઇએ. જોરજબરદસ્તી તને એ ટેવોની વધુ નજીક લઈ જશે. એવા સમયે તારે તારા મગજમાં ખેંચી રાખેલી તારા ઉજ્જ્વળ ભવિષ્યની તસ્વીરોને આંખ સમક્ષ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તારા અતિકિંમતી કલાકો બે ઘડીના આનંદની ટેવ પાછળ પાણીની જેમ વેડફાઈ રહ્યાં છે એ મગજને સમજાવું જોઇએ. તારા મગજને આ રીતે રીલેક્સ થવાની આદ્ત પડી ગઈ હશે એટલે એવા સમયે તારે તારા રીલેક્સેશન માટે બીજો રસ્તો શોધવાનો રહેશે. જેમ કે એ સમયે કોઈ મિત્રને ફોન કર, કાં તો થોડી વાર ગમતું મ્યુઝિક સાંભળ, ગ્રીન ટી બનાવી લે કાં તો બાઇક લઈને ઘરની બહાર ઠંડી હવામાં એક આંટો મારી આવ, ડીપ બ્રીધિંગ કર, એકસરસાઈઝ કર, ના જ બને તો બીજો એક રસ્તો કે બપોરે સૂવાની આદત છોડીને રાતના બદલે બપોરના સમયે ભણવાનું રાખ. બપોરે ઘરમાં ચહલપહલ પણ હોય છે એવા સમયે તારું મગજ આવી કોઈ જ વાત માટે વિચારી જ નહીં શકે. પણ સો વાતની એક વાત – કોઈ પણ ટેવ એક ઝાટકે અને જોરજબરદસ્તીથી છોડવી એ મૂર્ખામીભર્યું અને મહાજોખમી કાર્ય છે. એ ટેવને છોડવા માટેનો એક જ સીધો રસ્તો કે એમાંથી મળતી મજા તમને તમારી હેલ્થને તંદુરસ્ત રાખી શકે એવી કોઈ સારી ટેવમાંથી મેળવવી.બાકી દરેક માણસની નબળાઈઓ હોય જ છે બેટા એટલે તારે કોઈ જ શરમાવાનું કારણ નથી. મને તો તારી ટ્રાન્સપરન્સી પર ખૂબ જ માન છે. એથી પણ વધુ ગૌરવ મારી જાત પર થાય છે કે હું તારી સાથે એવી રીતે વર્તી શકી છું કે તું મારામાં. મારી સમજણમાં આટલો વિશ્વાસ મૂકીને આવી નાજુક વાત મને કહીને શેર કરી શકે છે. આઈ લવ યુ માય સન.’
અને ઋત્વીએ શોભમના કપાળ પર એક ચુંબન ચોડી દીધું.મમ્મી સાથેની વાતચીત પછી શોભમનું મન ખૂબ જ હલકું થઈ ગયું હતું. હલકા મગજમાં એને એની મનગમતી રમત ફૂટબોલ અને ક્રિકેટ દેખાઈ. એણે બપોરે બપોરે ભણવાનું ચાલુ કરીને રાતના મિત્રો સાથે આ બધી ગેમ્સ રમવાનું ચાલુ કરી દીધું- જરૂરિયાતનો પોઈંટ ડાયવર્ટ થતો ગયો અને મિત્રો સાથે રમવામાં તન -મનને પૂરતો સંતોષ મળવા લાગ્યો. જીવનમાં ‘મજા’નામનું પરિબળ ઓર મજબૂત બનતું ચાલ્યું. એની જરૂરિયાતનો સ્ટાટિંગ પોંઇન્ટ જ ફિનિશ થઈ ગયો, અને ધીમે ધીમે એ પોતાની આદત પર સંપૂર્ણપણે કાબૂ મેળવી શક્યો. આ બધાથી એનામાં તાજગી વધતી ગઈ, પરિણામે ઓછી મહેનતે વધુ ફોકસ કરી શકવા લાગ્યો અને ધીમે ધીમે મહેનત કરતાં કરતાં બોર્ડની પરીક્ષામાં એ પોતાના મનવાંછિત પરિણામને મેળવીને જ રહ્યો.
મમ્મી પરના પ્રેમનો રંગ વધુ ગાઢો બની ગયો.
અનબીટેબલઃ જીવનમાં કોઈ ‘મજા’ સ્વાસ્થ્ય કે સમાજને હાનિકારક બની જતી હોય તો તરત જ ચેતી જઈને એના સ્ટાર્ટિંગ પોઈંટને સમજી, ડાયવર્ટ કરીને બીજો તંદુરસ્ત રસ્તો શોધવાનો પરિશ્રમ કરવો જોઈએ.
-
મહેન્દ્ર શાહનાં ઓગસ્ટ ૨૦૨૬ નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s monthly creations of month of August for Web Gurjari
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
સદા અમર શ્રી અવિનાશ વ્યાસ – કૃષ્ણ પ્રાગટ્યની સૌને શુભેચ્છા
આલેખનઃ રાજુલ કૌશિક
શ્રાવણના આ દિવસોમાં આમ તો ચારેકોર ઉત્સવ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાવા માંડે. ચોથી સપ્ટેમ્બરે એટલે કે આવતી કાલના જન્માષ્ટમીના તહેવારની ઉજવણીનો માહોલ બંધાવા માંડ્યો હશે. શક્ય હોય ત્યાં મંદિરોમાં અથવા સૌએ પોત-પોતાના ઘરમાં જ કૃષ્ણને આવકારવા ગોકુળિયું સજાવવા માંડ્યું હશે. કૃષ્ણ તો સૌનો પ્રિય, સૌનો લાડકો દેવ. એને તો દેવ કહેવો, મિત્ર કહેવો કે ગુરુ કહેવો એ તો સૌ સૌની ભાવના પર આધારિત છે કારણકે કૃષ્ણ તો હર સ્વરૂપે હર કોઈને પોતાનો જ લાગે.
રાધા, મીરાં, ગોપી એ સૌએ તો એને અનન્ય ભાવે નિહાળ્યો છે, પણ આપણા જેવા સૌને પણ એનું અજબ આકર્ષણ તો રહ્યું જ છે એવા કૃષ્ણ તો કવિ, લેખકો અને ગીતકારોના પણ અતિ પ્રિય. આજ સુધીમાં સદીઓથી એના માટે ઘણું લખાયું છે અને લખાતું રહેવાનું છે ત્યારે અવિનાશ વ્યાસે એના માટે શું લખ્યું હશે એ જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે.
અવિનાશ વ્યાસની રચનાઓની વાત આવે ત્યારે એમની સાથે આપોઆપ શબ્દ, સૂર અને સંગીતનો તાલમેલ જોડાઈ જાય.
મોટાભાગે સંગીત શબ્દ ગાયન કે વાદનના અર્થમાં જ લેવાય છે પરંતુ કહેવાય છે કે ખરેખર તો સંગીત એટલે ગાયન, વાદન અને નૃત્યનો સમન્વય. વિશ્વની મોટાભાગની કળા એવી છે જેમાં એકવાર સર્જન થઈ જાય પછી કળાકાર અને કૃતિ બંને ભિન્ન અસ્તિત્વ બની રહે. ચિત્ર, શિલ્પ કે ગીતને પણ આ કક્ષાએ ગણી શકાય. ચિત્રથી ચિત્રકાર, શિલ્પથી શિલ્પકાર, ગીતથી ગીતકાર કે કથા લખાયા પછી કથાકાર બંને ભિન્ન અસ્તિત્વ અર્થાત સર્જન જ્યાં પહોંચે ત્યાં સુધી એનો સર્જક નથી પહોંચતો જ્યારે નૃત્ય એક એવી કળા છે જ્યાં કલા છે ત્યાં જ કલાકાર છે. એ બંનેનું અસ્તિત્વ અભિન્ન અને આવા અભિન્ન અસ્તિત્વ એવા નૃત્યની વાત આવે ત્યારે અચૂક કૃષ્ણ અને એની રાસલીલા યાદ આવે.
‘રાસ દુલારી’-
અવિનાશ વ્યાસની આ એવી અનોખી ભેટ છે જે શબ્દ, સૂર અને સંગીતના સમન્વયથી સંકળાયેલી છે. કૃષ્ણનું નટખટ બાળપણ, ગોપીઓ સાથેની અટખેલીઓ, રાધા સાથેના અલૌકિક પ્રેમની સરવાણીને એટલી તો સરસ રીતે સાંકળી છે કે એ એમની અમર કૃતિ બની રહી છે.
રાસ દુલારી શરૂ થાય છે જ કાનુડાના મસ્તીભર્યા અસ્તિત્વના એંધાણથી…
“વૃંદાવનનો શામળો, ઓઢીને કાળો કામળો
ધૂમ મચાવે વૃંદાવનમાં ….”આટલા શબ્દો જ એ મસ્તીખોર નંદકિશોરની હાજરીનો અનુભવ કરાવવા પર્યાપ્ત છે. માત્ર આ થોડા જ શબ્દોમાં અવિનાશ વ્યાસે કૃષ્ણની બાળપણની જે છબી સૌના મનમાં છે એ નજર તાદૃશ્ય કરી દીધી છે.
આ ગીત લખાયું એની પણ એક મઝાની વાત છે. અમદાવાદની ‘અર્ચન નૃત્ય અકાદમી’ અવિનાશ વ્યાસ કૃત ‘રાસ-દુલારી’ નૃત્યનાટિકા ભજવવાની હતી. પ્રેક્ટિસ ચાલતી હતી ત્યારે સ્ટેજ પર કૃષ્ણનો પ્રવેશ કેવી રીતે કરાવવો એની મીઠી મૂંઝવણ ચાલતી હતી અને પળવારમાં અવિનાશ વ્યાસે આ ગીતની રચના ફોન પર લખાવી.
આટલી ત્વરાથી ગીતની રચના કરી શકે એ ગીતકારની કેવી અદ્ભુત અંતઃસ્ફૂર્ણા !
‘મોરનું પીંછુ માથે, ગોવાળિયાની ટોળી સાથે,
આવે કાળુડો કાન, માંગે ગોપીઓથી દાન,
મારે ગોપીને કાંકરિયા માથે..’અને ગોપીઓનો ભાવ અવિનાશ વ્યાસના મનમાં જાગ્યો હોય એમ એ લખે છે,
‘સારા જગને દેનાર, મુજથી રે શું લેનાર,
તારી જુગતી ન જાયે કળી, હું તો મહી વેચવા નીકળી..”વાત તો સાચી છે, જે સમસ્ત જગતને દેનાર છે એને તો વળી કોઈની પાસેથી શું માંગવાનું હોય? તેમ છતાં એ કોઈનીય પાસે કંઈ પણ માંગે ત્યારે રાધા અકળાય. એની અકળામણમાં કૃષ્ણ માત્ર એનો જ છે એવી સ્ત્રીસહજ આધિપત્યની ભાવનાનો રણકો સંભળાય.
અવિનાશ વ્યાસ ક્યારેક કૃષ્ણ, ક્યારેક રાધા તો ક્યારેક ગોપીના ભાવ અત્યંત સહજતાથી નિરૂપે છે. અહીં એમના શબ્દોમાં રાધાના ભાવ વ્યક્ત થાય છે …
“આવું ન થાય શ્યામ મોરા, તું તો મારા મનનો ચોર
તુંથી માખણ ન ચોરાય,
ગોપ ગોપીની ટોળી જોડે, મારે કાંકરિયાને મટકી ફોડે,
મુજથી ના સુણાય….’કૃષ્ણ પાસે તો સૌની ફરિયાદના ઉત્તર. એ રાધાનું મન પારખતા કહે છે,
‘કોઈ મન ચોરે, કોઈ તન ચોરે, કોઈ ધન ચોરે આ જગમાં
હું તો કેવળ માખણ ચોરું ને વસુ તારી રગરગમાં….’કૃષ્ણ સૌને એક અલગ ઓળખ સાથે મળ્યા છે. સૌને એને પોતાની રીતે પામ્યાનો આનંદ છે.
પછી તો કાનાની આ સતામણીની ફરિયાદ પહોંચે જશોદાના દરબારમાં…
‘સુણજો જશોદા મૈયા, મારે કાંકરિયા, ફોડે ગાગરિયા,
મારે ઘેર વર કે સાસુ નણંદિયા, આવા કોઈના હશો નહીં છૈયા…”આગળ કહ્યું એમ સંગીત એટલે ગાયન, વાદન અને નૃત્યનો સમન્વય. સ્ટેજ પર ભજવાતી ‘રાસ દુલારી’ નૃત્યનાટિકા જેણે જોઈ છે એ સૌએ આ ત્રણેનો અદ્ભુત સમન્વય અનુભવ્યો છે.
કૃષ્ણની માખણ ચોરીને ખાવાની વાત કેટલીય વાર આપણે સાંભળી છે ત્યારે અવિનાશ વ્યાસ એ પ્રસંગને કેવી રીતે વર્ણવ્યો છે એ જોઈએ.
“આમ ભાળી તેમ ભાળી, હળવે હળવે પગલે ચાલી,
કાનુડો માખણ ચોરે હે..
ખાતા ખાતા મ્હોં બગાડી,ઊંચા વાસણ નીચે પછાડી,
કાનુડો માખણ ચોરે હે…’સ્ટેજ પર આ પ્રસ્તુત થાય ત્યારે તો કોની પ્રસંશા કરવી? ગાયનની, વાદનની કે નૃત્યની?
વર્તમાન ટેક્નોલૉજીના સમયમાં વર્ષો નહીં સદીઓ પહેલાંની વાતો કે વ્યક્તિની માહિતી ગુગલ અને અન્ય સર્ચ એન્જીન પરથી મળી જાય છે પરંતુ સ્વાનુભવની વાત કંઈક અનોખી છે એટલે આજે અહીં એ વાત લખવાનું મન થયું. એ સમયે ત્યાં જે માહોલ સર્જાયો હતો એમાં સૌ રસતરબોળ હતા. એક જાતના ટ્રાંસમાં હોઈએ એવી લાગણી હતી. કૃષ્ણથી કોણ અભિભૂત નથી?
અવિનાશ વ્યાસ માટે એવું કહેવાયું છે કે,
“ગામમાં ઘર હોય ને ત્યાં એના નાનકડા ખોરડામાં ય લીંપણ તો હોય. કવિના શબ્દો આ લીંપણ છે તો એની પર ઓકળીઓ બીછાવવાનું કામ સંગીતકાર કરે છે. અવિનાશ વ્યાસે તો ગુજરાતી ભાષાના ગીતો રચીને એને સંગીતે મઢીને આ લીંપણ અને ઓકળીઓ એમ બંનેથી ગુજરાતના ખોરડાને શોભાવ્યું છે.”
બાકી એમ જ કંઈ સ્ટેજ પર ગોકુળિયું સર્જાય છે?
અને પછી તો જશોદા સુધી પહોંચેલી ફરિયાદોનો સૂર પકડીને જશોદાનો અમથો અમથો ગુસ્સો, દેખાવ ખાતર કરેલી લાલ આંખ, હાથમાં આવે એ દોરડાથી ખાંડણિયા સાથે કાનુડાને બાંધવું, કાનુડાનો સ્વ બચાવ એમ એક પછી એક બનતા બનાવને સાંકળીને અવિનાશ વ્યાસે લગભગ બારેક જેટલા ગીતોથી રાસદુલારી નૃત્યનાટિકા રચી છે જેમાં રાધાનો કૃષ્ણ માટેનો રાગ અને રાવ એમ બંને પણ અત્યંત ભાવવાહી રીતે વ્યકત થયા છે.
–કેમ રે વિસારી ઓ વનના વિહારી,
તારી રાધા દુલારીને કેમ રે વિસારી…
નહીં જાઉં, જમના ઘાટ, મુરલી મને નથ ગમતી,
દિન રજનીભર શ્યામસુંદરના અધર પર એ રમતી,
મુરલી મને નથ ગમતી.’આ ગીત માટે સાંભળેલી એક વાતનો અત્રે ઉલ્લેખ કરવાનું મન થાય છે. ‘રાસ દુલારી’ સ્ટેજ શો માટેનું રેકોર્ડિંગ અમદાવાદના સ્ટુડિયોમાં થયું હતું. મુંબઈમાં જાણીતા ઉદઘોષક શ્રી સુહાગ દીવાનનો ડબિંગ અને એડિટિંગ સ્ટુડિયો હતો. જ્યારે આ રેકોર્ડિંગ એડિટિંગ માટે મુંબઈ મોકલવામાં આવ્યું ત્યારે એમને ‘કેમ રે વિસારી; ગીત એટલું ગમ્યું કે એને ગુજરાતી ફિલ્મમાં લેવામાં આવ્યું. ‘રાસ દુલારી’ માટે હર્ષિદાબેન રાવલે ગાયેલું ફિલ્મમાં આશા ભોંસલે દ્વારા ગવાયું.
અહીં વાત આટલી જ છે કે કોઈ પણ ગીતકાર પાસે એક અપેક્ષા તો ચોક્કસ જ હોય કે એમના શબ્દો, ભાવ સમસ્ત સુધી પહોંચે. આપણી અપેક્ષાઓ અવિનાશ વ્યાસની તમામ રચનાઓ થકી સાચા અર્થમાં પૂર્ણ થઈ છે. જો કે આ તો રાસદુલારીની ઝલક માત્ર છે. થોડામાં ઝાઝું સમાવાની વાત છે બાકી અવિનાશ વ્યાસની યાદ અનંત છે.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મોટા ભાગે સમસ્યાઓના ઉપાય દૃષ્ટિની મર્યાદાની બહાર મળી રહે છે.
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
મિટિંગ દરમ્યાન કોઈએ કહ્યું, “AI એ ન કરી શકે.”
દસમાંથી નવ વખત, આવું વાક્ય સાવ સાચું નથી હોતું.
એટલા માટે નહીં કે, સમસ્યાના ઉકેલો, કે હવે AI મોડેલો, માં સુધારાઓ થતા રહે જ છે.
પરંતુ એટલા માટે કે (સમસ્યાના) ઉકેલોની સીમાઓ ક્યાંથી વિસ્તરી શકે તેનો અંદાજ અધુરો કે ખોટો હોય છે.બાલ્કનીમાં ઉભેલા એક માણસે આ વાત જોઈ શકાય તેમ કરી બતાવ્યું.
કબુતરો દ્વારા માળાઓ બાંધવાના ત્રાસનો કોઈ ઉકેલ નહોતો મળતો.
એણે બાલ્કનીની દિવાલ પર કેમેરા ગોઠવ્યો. હથેળીથી પણ નાનાં એક પાટીયાં પર (AI આધારિત ) ભાળ કાઢતું – detection – (જેમ કે Vision AI) મોડેલ[1] ચલાવ્યું, અને પછી તેને પાણીની પિસ્તોલ સાથે વાયરથી જોડી દીધું.
કબુતર આવે, પાણીની પિચકારી છૂટ્રે, કબુતર ઉડી જાય. જરા પણ ઈજા પામ્યા વિના.
તેણે એ મોડેલ માટે ક્યારે પણ કબુતરની તસવીરો ન વાપરી.
તેણે તો ‘કબુતર’ ટાઈપ કર્યું અને મોડેલને એ શબ્દ ઓળખાવ્યો.
દૃષ્ટિકોણમાં નાનો સો ફરક, અને સિસ્ટમ નવા જ પ્રકારની બની ગઈ.કમ્પ્યુટરનાં મોટાં ભાગનાં કામો શી રીતે થશે તે તેના માટે સોફ્ટવેરની રચના સમયે જ નક્કી થઈ જતું હોય છે. તેમાં કઈ પણ ફેરફાર કરવો એટલે કોડીંગ સુધારવું કે નવેસરથી કરવું.
અહીં, પ્રોગ્રમનાં પરિણામોની વર્તણૂકને તો પહેલે તબક્કે જ સુધારી લેવાઈ છે.
એટલે, પ્રોગ્રામની રચના દરમ્યાનના આવશ્યક અવરોધને હટાવી લેવાયો છે. હવે ચિત્રને બદલે તમને યોગ્ય લાગે એ મુજબનું નામ મુકી દેવાયું છે.
આ બહુ શાંત ફેરફાર છે. આવા શાંત ફેરફારની કલ્પના કરવી અને તેને પ્રોગ્રામમાં સામેલ કરવા એ સામાન્યપણે ખર્ચાળ નીવડતું હોય છે. પોતાને મર્યાદિત કરનાર અવરોધનું ઈષ્ટતમકરણ કરવું ટીમ માટેની એક સતત ચાલતી પ્રવૃતિ છે.હવે તમારી પોતાની જરૂરિયાત ઉપર તેને ચકાસો. છેલ્લે જેને અશક્ય કહ્યું હતું, તેને પસંદ કરો. તેને એક જ શબ્દમાં વર્ણવો.
મોટા ભાગે, અશક્યતા એ રીતે સ્પષ્ટ થતાં વાકયને કારણે ઓગળી જાય છે. ક્યારેક એવું ન થાય. તો એ ફરી એક વાર નક્કર પાઠ શીખવાની તક છે.
ખેર, બન્ને કિસ્સામાં ખરો અવરોધ શું હતો એ તો તો તમે ખોળી કાઢ્યું છે.
મોટા ભાગે, અશક્ય કંઈ જ નથી હોતું. તેને ખરેખર ઓળખી ને સ્પષ્ટ નથી કરાયું હોતું.
[1] How to Detect People Using YOLO and Google Generative AI
[2] (Credit: built and first shared by u/muxamilian on r/SideProject on Reddit.)
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
