વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • એ અકસ્માત કે દુર્ઘટના નહીં, બેદરકારી છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    કોઈ દુર્ઘટના એકાદ વાર બને તો એને અકસ્માત કહી શકાય, પણ એકની એક પ્રકારની દુર્ઘટના વારેવારે થયા કરતી હોય તો એને બેદરકારી, ઊપેક્ષા, અવગણના, જડતા કે એવું બીજું જે કહેવું હોય એ કહી શકાય.

    ૨૦૨૫ની વીસમી ડિસેમ્બરે આસામમાં વધુ એક વાર આ દુર્ઘટનાનું પુનરાવર્તન થયું. મિઝોરમના સૈરાંગ સ્ટેશનથી દિલ્હી તરફ જઈ રહેલી રાજધાની એક્સપ્રેસના પાંચ ડબ્બા અને એન્‍જિન, ગુવાહાટીથી સવાસો કિ.મી.ના અંતરે વનવિસ્તારમાં પાટા પરથી ઊથલી પડ્યાં. સદ્‍ભાગ્યે કોઈ મુસાફરને ઈજા થઈ નહીં. પણ દુર્ઘટના આ નથી. દુર્ઘટના એ છે કે રાતના આશરે બે વાગ્યાની આસપાસ આ ટ્રેનના ડ્રાઈવરે હાથીઓના ટોળાંને પાટાની આસપાસ જોયાં. તેણે ઈમર્જન્‍સી બ્રેક લગાવી. છતાં હાથીઓ એન્‍જિન સાથે ટકરાયા. અમુક બચ્ચાં અને એક સગર્ભા હાથણી સહિત સાત હાથીઓ મોતને ભેટ્યા. હાથીઓ સાથેની ટક્કરને કારણે એન્‍જિન અને થોડા ડબ્બા ઊથલી પડ્યા.

    ટ્રેન સાથે હાથીઓની ટક્કર અને તેને લઈને થતાં મોતનો આ પહેલવહેલો કિસ્સો નથી. છેલ્લો પણ નહીં હોય. બલકે આમ ન થતું રહે તો જ નવાઈ ગણાશે. આસામમાં હાથીઓની વસતિ દેશમાં દ્વિતીય ક્રમે છે અને ૨૦૧૪માં રાજ્ય સરકારના આંકડા અનુસાર કુલ ૫,૮૨૮ હાથીઓ હતા. ખોરાક, પાણી અને આવાસની જરૂરિયાત મુજબ હાથી એક દિવસમાં ઓછામાં ઓછા પચીસ અને વધુમાં વધુ ૧૯૫ કિ.મી. જેટલો પ્રવાસ કરે છે. હાથીઓ મોટે ભાગે ટોળામાં ફરે છે, અને જે મુખ્ય વિસ્તારોમાં તેમની આવનજાવન રહેતી હોય એવા વિસ્તારો ‘એલિફન્‍ટ કોરીડોર’ તરીકે ઓળખાય છે. દેશના ઈશાન ખૂણે આવેલાં આ રાજ્યોમાં હવે વિકાસ થઈ રહ્યો છે, જેમાં ખનન, ઉદ્યોગ સહિત અનેકવિધ વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે. આવા પ્રકલ્પોને મંજૂરી આપતાં અગાઉ કાનૂની જરૂરિયાત અનુસાર પર્યાવરણ પર થનારી તેની અસરો અને તેના ઊપાયો બાબતે અભ્યાસ થાય છે ખરા, પણ એક વાર કામ આરંભાઈ જાય પછી જે થવાનું હોય એ થઈને જ રહે છે.

    જેમ કે, હાથીઓના આ કિસ્સે એવું બન્યું કે સો જેટલા હાથીઓ પાટા ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉની જેમ જ આ કિસ્સો પણ બેદરકારીનો જ છે. એ વિસ્તારની એક મહિલા ખેડૂત સીનુ મોની દેવરીનું ઘર પાટાથી સોએક મીટરના અંતરે છે. તેમના જણાવ્યા અનુસાર રાતના સાડા દસની આસપાસ સ્થાનિક ગ્રામ પંચાયતે તેને એસ.એમ.એસ. દ્વારા જાણ કરેલી કે દોઢસોએક હાથીઓનું ટોળું એ વિસ્તારમાં ફરી રહ્યું છે. ડાંગરની લણણીની મોસમ શરૂ થતાં હાથીઓ ગામ તરફ આવતા હોય છે, પણ ખાસ નુકસાન કરતા નથી. પણ એ ખેતરમાં ઘૂસી ન જાય એટલા સારું ગામલોકો તેમના પર નજર રાખતા હોય છે. સીનુએ એટલા માટે બે તાપણાં સળગાવી રાખેલાં. રાતના બેની આસપાસ ટોળું પાટાની નજીક જવા લાગ્યા એટલે કેટલાક ગ્રામજનો તેમની પાછળ ગયા, કેમ કે, તેમને ખ્યાલ હતો કે હવે રાજધાની એક્સપ્રેસના પસાર થવાનો સમય નજીક છે. પણ આખરે જેનો ડર હતો એ થઈને જ રહ્યું.

    રેલવે વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર અકસ્માત થયો એ સ્થળ નિર્ધારીત એલિફન્‍ટ કોરીડોર નથી. આ વિસ્તારના એક વરિષ્ઠ પત્રકારનું કહેવું છે કે આ હાથીઓ મિકિર બામુની નામના વિસ્તારમાંથી  આવતા હતા, જે એક નિર્ધારીત કોરીડોર છે. હવે એ કોરીડોરને વિશાળ સૌર પાર્કમાં વિભાજીત કરી દેવાયો છે. લણણીની મોસમમાં હાથીઓ જે માર્ગે આવનજાવન કરે છે ત્યાં પુષ્કળ દબાણો છે, જમીનોના હેતુફેર, ખનનપ્રવૃત્તિઓ વગેરે ચાલી રહ્યાં છે. આથી હાથીઓએ પોતાના ખોરાક માટે માર્ગ બદલીને પાટા ઓળંગવા પડે છે.

    રેલવે વિભાગના પ્રવક્તા ભલે કહે કે આ વિસ્તાર નિર્ધારીત એલિફન્‍ટ કોરીડોર નથી, પણ પર્યાવરણ મંત્રાલય, આસામ રાજ્ય વનવિભાગ, ભારતીય રેલવે તેમજ વાઈલ્ડલાઈફ ઈન્‍સ્ટિટ્યૂટ ઓફ ઈન્‍ડિયા દ્વારા ૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન સંયુક્તપણે હાથ ધરાયેલું સર્વેક્ષણ કંઈક અલગ દર્શાવે છે. એ મુજબ આ રાજ્યનું વિશાળ રેલવે નેટવર્ક અનેક ઠેકાણે વન્ય જીવોના આવાસસ્થાન તેમજ એલિફન્‍ટ કોરીડોરમાંથી પસાર થાય છે. પરિણામસ્વરૂપ આ વિસ્તારમાં થતાં હાથીઓનાં અકુદરતી મૃત્યુના કારણમાં તેમની ટ્રેન સાથેની ટક્કર દ્વિતીય ક્રમે આવે છે. ૧૯૦૦ થી ૨૦૧૮ ના ૨૮ વર્ષ દરમિયાન કુલ ૧૧૫ હાથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે જાન્યુ.૨૦૧૭ થી માર્ચ, ૨૦૨૩ના ફક્ત છ વર્ષના ટૂંકા ગાળા દરમિયાન કુલ ૩૩ હાથીઓ મૃત્યુ પામ્યા છે. એમાંય નોર્થઈસ્ટ ફ્રન્‍ટીઅર રેલવે (એન.એફ.આર.) ક્ષેત્રમાં ૨૦૧૪થી ૨૦૨૨ દરમિયાન મૃત્યુ પામેલા હાથીઓનો આંકડો સૌથી વધુ, ૬૩નો છે.

    આનો અર્થ સાફ છે. રેલવેના પાટાની દિશા કંઈ બદલાવાની નથી, બલકે એનો વિસ્તાર હજી વધતો જશે. હાથીઓની આવનજાવનનો માર્ગ અવરોધાતો રહેશે, કેમ કે, વનવિસ્તારમાં ઉદ્યોગો પણ વધતા રહેવાના. દબાણો અને ખેતી માટે જમીનનો હેતુફેર આ વિસ્તારને ઓર સંકોચી નાખશે. આ કારણે હાથી અને માનવ વચ્ચેની અથડામણની ઘટનાઓ હજી વધતી રહેશે, કેમ કે, શરૂ થયેલા વિકાસની આ ગાડીને રિવર્સ ગિયર નથી હોતો. આમાં ક્યારેક માનવ પણ મરી શકે, અને મોટે ભાગે હાથીઓ. આપણે બસ, આવા સમાચારોથી ટેવાઈ જવું પડશે. કેમ કે, મૃત્યુનું દેખીતું કારણ અકસ્માત કહેવાશે, પણ હકીકતમાં એ બેદરકારી છે, અને એ પણ ગુનાહિત, જેને હત્યાની સમકક્ષ મૂકવી પડે. એના આરોપી તરીકે આપણા સૌનું નામ મૂકાશે.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧ – ૧– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • સંસ્કૃત – શ્લોક/સુભાષિતો : સરસ્વતી વંદના

    દેવિકા ધ્રુવ

    શ્લોકઃ

    या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता ।
    या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना ॥
    या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता ।
    सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥

     

    સમાસ વિભાજન અને શબ્દશઃ ગુજરાતી અર્થઃ

    या=જે, कुन्द+इन्दु+तुषार+हार+धवला=

    कुन्द=મોગરા, इन्दु=ચંદ્ર, तुषार=બરફ, हार=હારમાળા જેવી,धवला= શ્વેત.

    या=જે, शुभ्र+वस्त्र+आवृता=शुभ्र=સફેદ, वस्त्र=વસ્ત્ર, કપડાં, आवृता=થી ઢંકાયેલ.ધારણ કરેલ.

    या=જે, वीणावर+दण्ड+मण्डित+करा=

    वीणावर=શ્રેષ્ઠ વીણા, दण्ड=દાંડો, मण्डित=સુશોભિત,

    करा= હસ્ત, હાથ, या=જે, श्वेतपद्म+आसना=

    श्वेतपद्म= સફેદ કમળ,आसना=આસન પર બિરાજે છે.

    या ब्रह्मा +अच्युत॒+ शंकर+ प्रभृतिभिः+देवैः=

    या=જે, ब्रह्मा=બ્રહ્મા, अच्युत=વિષ્ણુ, शंकर=મહેશ,શિવ, प्रभृतिभिः= વગેરે,

    देवैः=દેવો થકી, सदा=હંમેશાં, वन्दिता= પૂજાય છે.

    सा=તે, माम्=મારી, पातु=રક્ષા કરે, सरस्वती भगवती= સરસ્વતી દેવી

    निःशेषजाड्यापहा=निःशेष=બધા પ્રકારની + जाड्य=જડતાને + अपहा=દૂર કરે.

    શ્લોકનું ગુજરાતી ભાષાંતરઃ

    જે મોગરા,ચંદ્ર,બરફની હારમાળા જેવી શ્વેત છે, જેમણે સફેદ વસ્ત્ર ધારણ કરેલ છે, જેમના હાથ શ્રેષ્ઠ વીણાથી સુશોભિત છે, જે સફેદ કમળના આસન પર બિરાજમાન છે, જેમની ઉપાસના બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ કરે છે, જે દેવોથી સદા પૂજાય છે અને જે તમામ જડતાને દૂર કરે છે, એ મા સરસ્વતી મારું રક્ષણ કરો.

    વિચારવિસ્તારઃ

    આ શ્લોકમાં સરસ્વતીના તમામ વિશેષણો દ્વારા સરસ્વતીના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. દેવીના રૂપમાં સરસ્વતીનો ઉલ્લેખ ઋગ્વેદમાં પ્રથમવાર જોવા
    મળે છે. તેમની પૂજા વસંતપંચમીને દિવસે મનાવવામાં આવે છે. સંગીતપ્રેમીઓથી માંડીને વૈજ્ઞાનિકો સુધીના તમામ જનો સરસ્વતીને એક જ્ઞાન અને કલાની દેવી ગણી નમે છે.

    Sanskrit shlok in English script:

    Yaa kundendu tushaarhaardhavalaa yaa Shubhra vastravrutaa,
    Yaa viṇaavaradaṇḍamaṇḍitakaraa yaa shwetapadmaasanaa
    Yaa brahmacyutashankaraprabhrutibhirdevaihi sadaa vanditaa
    Saa maaṃ patu sarasvati bhagavati nisheshajaadyapahaa …

    Word-to-word meaning in English:

    Yaa= that, kundendutushaarhaardhavalaa==kund+indu+tushaar+haar+dhavalaa
    Kund=Jasmin, indu=Moon, tuṣhaar=snow, Haara=Garland, dhavalaa= white,

    Yaa=that, shubhravastraavrutaa= Shubhra+Vastra+Avrutaa.

    Shubhra= white, Vastra=clothes, Avruta=covered,

    Yaa=that, viṇaavaradaṇḍamaṇḍitakaraa=Vinaavar+dand+Mandit+karaa=

    Vinaavara= best Vina, daṇḍa=shape like stick, maṇḍita=decorated,

    karaa= Hands, yaa= that, shwetapadmasanaa= Shwet+Padma+Aasanaa

    Shweta=white, padma=Lotus, Asanaa=seated,

    Yaa=that, brahmaacyutashankaraprabhrutibhirdevai =

    Brahma+Achyut+shankar+Prabrutibhihi+ devaihi

    brahma, Acyuta, Shankara= names of three God,

    prabhṛtibhihi=by others, Devaiḥi=by Gods, sadaa=always,

    vanditaa=worshipped, saa=that, maam=my,me Paatu=protect,

    Sarasvati=goddess, bhagavati=divine, nisheshajaadyapahaa …

    Nishesh+jaadya+apahaa=Nishesh=all, Jaadya=illusion, apahaa= destroy.

    Translation in English:

    She is a goddess, white like Jasmin, moon and garland of snow. She is covered with white clothes. Her hands adorned with the best veena and she sat on a white lotus. She is always worshiped by Brahma, Achyut, Shankara and other Gods. May that
    divine Saraswati who destroys all illusion, protect me.


    Devika Dhruva.
    ddhruva1948@yahoo.com|

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : ડો. દિનેશ ઓ. શાહ – (૧)

    ઉદાર અને ઉદ્દાત્ત વ્યક્તિત્વ ધરાવતા એક સફળ વૈજ્ઞાનિક તરીકે ડો. દિનેશ ઓ. શાહનું નામ અમેરીકાના ગુજરાતીઓમાં જાણીતું છે.

    ૧૯૩૮માં મુંબઈમાં જન્મેલા દિનેશભાઈની અમેરિકાની જીવન યાત્રા ૧૯૬૧માં શરૂ થઈ. સામાજિક પ્રગતિ માટેના કાર્યોમાં ગુજરાતમાં તેમણે ઘણો ફાળો આપ્યો છે. જેમાં શાહ-શૂલમન સેન્ટર ફોર સરફેસ સાયન્સ એન્ડ નેનોટેક્નોલોજી મુખ્ય છે. તેમના પત્ની સુવર્ણાની યાદમાં “સુવર્ણા શાહ પોએટ્રી ફેસ્ટિવલ”નું આયોજન દર બે વર્ષે થતું રહે છે તે તેમના પ્રેમાળ અને ઉદાર દિલનું પ્રમાણ છે.

    સાહિત્ય પ્રત્યેનો એમનો રસ ઘણો ઊંડો છે. કલમના જાદુથી એક તરફ રીસર્ચ પેપર્સમાં એમનું બુદ્ધિ કૌશલ્ય તો બીજી બાજુ કવિતાઓમાં સંવેદનાથી ભરપૂર હ્રદય છલકાય છે. એમના લખેલા ગીતોના પુસ્તક ઉપરાંત સીડી ઓ પણ ઉપલબ્ધ છે. એમની લખેલી કવિતા ગુજરાતની શાળાઓ માટેના પાઠ્યપુસ્તકમાં પણ પસંદગી પામી છે. જાણીતા ગાયકો અને સંગીતકારોની ઉપસ્થિતિમાં એમના ગીતોના કાર્યક્રમો મુંબઈ, અમદાવાદ, વડોદરા વિગેરે શહેરોમાં યોજાયા છે.

    તેમની કહેલી વાર્તાઓનો ઈગ્લીશમાં અનુવાદ કરીને કિશોરવયના પૌત્રને પુસ્તક પ્રગટ કરવાની પ્રેરણા થઈ. દાદાનો વારસો અને પ્રભાવ પૌત્રએ લખેલા “વોકિંગ વિથ માય દાદા” પુસ્તકમાં પ્રગટ થાય છે. નિવૃત લોકો માટેની ફ્લોરિડાની શાંતિ નિકેતન કોલોનીમાં રહીને સમાજને ઉપયોગી થવાનો પ્રયત્ન તેઓ કરતા રહે છે.

    www.dineshoshah.com પર એમને મળી વાંચી શકાશે.

    Email: dineshoshah@yahoo.com


    તારીખ ૭ સપ્ટેમ્બર ૧૯૬૧ ના રોજ હું મુંબઈથી ક્વોન્ટાસ એરલાઈનની  ફ્લાઇટ  લઇ મુંબઈથી  નીકળ્યો  ત્યારથી શરુ થઇ.  એરપોર્ટ ઉપર મારા ભાઈઓ, બહેનો, સગાવહાલા,  મિત્રો   મને વળાવવા આવેલા. ઘણા મારા માટે હારતોરા લઈને આવેલા.  હું સ્વપ્નોની દુનિયા અને હકીકતની દુનિયાની વચ્ચે ઝોલા ખાતો હતો.  જાણેલી દુનિયા છોડી એક અજાણી દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યો હતો.  ભાવિના સ્વપ્નો પણ હતા અને એ સાચા પડશે કે નહિ તેનો ગભરાટ પણ અનુભવતો હતો.  મારી પૂર્વ ભૂમિકા જોતા વાચકને મારી પરિસ્થિતિનો ખ્યાલ આવી જશે.

    કપડવંજ નામના એક નાના ગામમાં મારો ઉછેર થયો.  મારા પિતાશ્રી હું દસ વર્ષનો હતો ત્યારે દેવલોક પામ્યા.  મારા માતુશ્રી શારદાબેનના માથે બે દીકરીઓ તેમજ ત્રણ દીકરાઓને મોટા કરવાની જવાબદારી આવી પહોંચી.  તેમણે ઈશ્વરમાં ખુબ શ્રદ્ધા રાખી હિંમતથી બાળકોને આગળ

    વધવા પ્રોત્સાહન આપ્યું.  આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી.  સારા નસીબે મારા મામા શ્રી ચંદ્રકાન્ત પરીખ ગાંધીજી ના અનુયાયી હતાં. આ પણ એક આકસ્મિક બનાવ છે કે આજે ઓક્ટોબર 2, ગાંધીજીની પુણ્યતિથિના દિવસે મારા જીવનની વાર્તા લખવાની શરૂઆત કરું છું.  તેમને મને કહ્યું કે

    કે તું સુતરની એક આંટી કાંતી આપે તો તને ત્રણ આંટીનો એક રૂપિયો આપીશ.  દર રવિવારે સવારથી સાંજ સુધીમાં હું ઘરના એક જુના રેટિયા ઉપર ત્રણ આંટી કાંતીને બનાવી શકતો.  દિવાળીના સમયે હાથથી દોરીને રંગીન ગ્રીટિંગ કાર્ડ બનાવતો.  તે સમયે ઘણા ઓળખીતા લોકો મને મદદ કરવા એક એક રૂપિયાનું કાર્ડ ખરીદતા.  આગળ જતા મારા એક પાડોશીએ તેમના બે નાના છોકરાઓનું ટ્યુશન કરવા મને ક્હયુ. મારે આ બને બાળકોને ગણિત અને  વિજ્ઞાન શીખવાડવાનું હતું.

    આઠમા ધોરણમાં હતો ત્યારે એક હરિજન જે અમારી વ્યાયામ શાળાનો કચરો વાળતો  હતો તે કામ છોડી ને બીજે જતો રહ્યો.  તો મેં અમારા વ્યાયામ શિક્ષક નરહરિભાઈને

    કહ્યુકે હું દરરોજ કચરો વાળીશ અને તમે મને જે પગાર પેલા હરિજનને આપતાં  હતા  તે મને આપજો.  તેમણે મંજૂરી આપી અને મને દર મહિને પાંચ રૂપિયાનો પગાર મળતો.

    દરરોજ સાંજે શાળા છૂટે  એટલે હું વ્યાયામશાળા સાફ કરતો તેમજ થોડી કસરત કરી ઘેર આવતો.  એ સમયે મને હાઈ જમ્પ અને લોન્ગ જમ્પમાં ખુબ રસ હતો અને કોઈક દિવસ ઓલમ્પિક હરીફાઈમાં ભાગ લઈશ તેવા સ્વપ્ન પણ સેવતો.  થોડા સમય બાદ અમારી શાળાના સંચાલક શ્રી શંકરલાલ શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા.  તેમણે એક વાર શાળાની મુલાકાત દરમ્યાન એક ભાષણમાં કહ્યુકે હવે આપણે આઝાદ થયા છીએ અને આપણા વિદ્યાર્થીઓએ મહેનત કરી પોતાના પગ પાર ઉભા રહેતા શીખવું જોઈએ.  તો મેં એમને કહ્યું કે તમે શું કામ આપો? તો એમણે કહ્યુકે મારા ખેતરમાં દરરોજના બે રૂપિયા આપીશ. એ સમર વેકેશનમાં અમે ત્રણ  વિદ્યાર્થીઓએ એમના ખેતરમાં કામ કરવાનું નક્કી કર્યું.  બીજા દિવસે એક વિદ્યાર્થી ના આવ્યો કે મારા પાડોશીઓ વાતો કરે છે કે બ્રાહ્મણ થઈને ખેતરમાં કામ કરવા જાય છે.  ત્રણ દિવસ પછી બીજો વિદ્યાર્થી ના આવ્યો કે મારી જૈનોની નાતવાળા કહે છે કે જૈનનો દીકરો થઈને ખેતરમાં મજૂરી કરવા જાય છે. મેં એકલાએ બે મહિના શંકરભાઈના ખેતરમાં કામ કર્યું. મને મારા પગાર કરતા

    25 રૂપિયા વધારે આપ્યા.  મેં પૂછ્યું કે શા માટે વધારે આપો છો?  તો તેમણે કહ્યુકે આ 25 રૂપિયા તારી નૈતિક હિંમતના આપું છું.  તે બીજા છોકરાઓની જેમ ડરીને બીજા વાતો કરશે એમ ગભરાઈને જોબ છોડી ના દીધી .  ગાંધીજીની વિચાર સરણી  જાતમહેનત કરવાની મને ખુબ કામ લાગી.  આ માટે ગાંધીજીનો જેટલો આભાર માનું  તેટલો ઓછો છે.

    આમ અનેક કામ કરી જીવનમાં અનેક નવા સ્વપ્ના ઉમેરી જોતજોતામાં એસ.એસ.સી. ની પરીક્ષા આપી દીધી.  ત્યાર બાદ બે મહિનાના વેકેશનમાં મારા એક મિત્ર પ્રભુચરણ સાથે હિમાલયના પ્રવાસે જવાનું નક્કી કર્યું.  ગુજરાતમાં  રહેલો વ્યક્તિને ખ્યાલ જ ના આવી શકે કે હિમાલયમાં બરફ પડતો હોય છે  અને ઉનના કપડાંની જરૂર પડે છે.  અમે તો ચાલુ કોટનના કપડાં લઈને હિમાલયના પ્રવાસે નીકળ્યા. હરદ્વાર, ઋષિકેશ, કેદારનાથ, તુંગનાથ વી. જોઈ આનંદ અને સંતોષ થયો.  આટલું જોયા પછી મને તાવની બીમારી લાગી.  તરત હું ઘેર પાછો આવ્યો.  ડોક્ટરે કહ્યુકે ટાઇફોઇડની બીમારી છે.   ત્યાં સુધીમાં પરીક્ષાનું પરિણામ જાહેર થયું.  કપડવંજ કેન્દ્રમાં મારો પહેલો નંબર આવ્યો હતો. બધા શિક્ષકો મને મળવા મારી ઘેર આવ્યા હતા.  શાળામાં મારી તબિયત સારી થઇ જાય તે માટે સમૂહ પ્રાર્થના થઇ હતી.  આ બધાની મારા મન ઉપર ઘણી અસર થઇ અને હું થોડા સમયમાં સારો થઇ ગયો.  મારા મોટાબેન પદ્માબેન તેમજ બનેવી કનુભાઇએ મારુ એડમિશન એલ્ફિન્સ્ટન કોલેજમાં લીધું  તેમજ રહેવા માટે ગોકુલદાસ તેજપાલ બોર્ડિંગમાં લીધું.  આ હોસ્ટેલ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે હતી. તેમાં ખુબજ ઓછા ખર્ચથી રહેવાતું.

    મારી કોલેજ શરુ થઇ ગઈ.  ગુજરાતી કવિતાની હરીફાઈમાં મેં મારુ લખેલું એક મુક્તક આપ્યું.  પરિણામ જાહેર થયું તેમાં મારા મુક્તકને બીજું ઇનામ મળ્યું.  આ કારણથી મારી છાપ “કવિ” તરીકે બધા મિત્રો ઓળખવા લાગ્યા.  અંગ્રેજીમાં બોલવું કે લખવું મારા માટે ખુબ ભારે હતું પરંતુ બધાને ફાવે છે તો મને કેમ ના ફાવે તેવો વિચાર કરી પ્રયત્ન કરતો.  એક સેમેસ્ટરમાં જે કઈ ઈનામના પૈસા મળેલા તે વપરાઈ ગયા.  એક સાંજે દરિયાકિનારે ચાલતો હતો અને વિચાર કરતો હતો કે કઈ રીતે જરૂરિયાત જેટલા પૈસા ભેગા કરી ભણતર ચાલુ રાખવું?  અચાનક મારી નજર એક બંગલાના દરવાજા ઉપર પડી. ત્યાં નાના બોર્ડ ઉપર લખ્યું હતું કે બેરિસ્ટર ભુલાભાઇ દેસાઈ તેમજ બેરિસ્ટર ધીરુભાઈ દેસાઈ.  આ બંને વિષે મેં શાળા દરમ્યાન વાંચ્યું હતું.  બેરિસ્ટર ભુલાભાઇ દેસાઈની આગેવાની નીચે આઝાદ હિન્દ ફોજના ત્રણ જનરલોને દેશ દ્રોહની સજામાંથી મુક્ત કરાવેલા.   ગાંધીજીએ તેમને “દેશભક્ત ભુલાભાઇ દેસાઈ ” તરીકે બહુમાન કરેલું.  આ રોડનું નામ પણ ભુલાભાઇ દેસાઈ રોડ હતું.  મેં બારણાંપાસે જઈ બેલ વગાડ્યો. એક નોકરે બારણું ખોલ્યું અને  પૂછ્યું કોનું કામ છે?  મેં કહ્યું કે ઘરમાં જે હોય તેમને આ ચીઠી આપશો?  એક કાગળમાં મેં લખ્યું કે હું અહીં એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણું  છું અને ગોકુલદાસ હોસ્ટેલમાં રહુ છું .  મારે કઈ પાર્ટટાઈમ કામની જરૂર છે. આપ કઈ મદદ કરી શકો તો મારો અભ્યાસ ચાલુ રહે.  નોકર અંદર ગયો અને થોડીવારમાં બારણું ખોલી મને ઘરની અંદર આવવા કહ્યું.  ખુબ પ્રભાવશાળી એક બહેન ખુરશીમાં બેઠા હતા . તેમણે મને પૂછ્યું કે ક્યાંથી આવો છો અને હાલમાં શું કરો છો?  મેં મારી પુરી કથની કહી . તેઓ દેલવાડાના દેહરાની મુલાકાતે ગયેલા ત્યારે મારી શાળાના વિદ્યાર્થીઓને મળેલા અને તેમના પર સારી છાપ પડેલી.  તેમણે કહ્યું આવતીકાલે આવજો અમે વિચાર કરીને તમને કંઈક  કામ આપીશું.  આ બેનનું નામ હતું માધુરીબેન દેસાઈ.  તેમના પતિ બેરિસ્ટર ધીરુભાઈ દેસાઈ સ્વિટઝર્લેન્ડ ખાતે ભારતીય એલચી હતા.  તેમનું અચાનક સ્વીટ્ઝરલેન્ડમાં અવસાન થયું એટલે માધુરીબેન ભારત આવી મુંબઈમાં બિચકેન્ડી ઉપર બંગલો બનાવી સ્થાયી થયા.  તેઓ અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ લાલભાઈના કુટુંબીજન હતા. બીજે દિવસે મળવા ગયો ત્યારે તેઓ ઘરમાં નહોતા પરંતુ તેમના પારસી સેક્રેટરીએ  કહ્યું કે તમે અમારા બે નોકરોના બાળકોને ટ્યુશન આપવા આવજો અને અમે તમારી ફી કોલેજમાં તેમજ હોસ્ટેલની ભરી દઈશું.  મારા માટે તો આ ન માની શકાય તેવો પ્રસંગ હતો.  મારી આર્થિક ચિંતા બિલકુલ મટી ગઈ.  મારુ બી.એસ.સી. પતિ ગયું અને પછી મેં કોલેજના વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાનું શરુ કર્યું.  દર સેમેસ્ટરમાં એકવાર મળવા જતો અને મારા અભ્યાસ વિષે તેમને માહિતગાર કરતો.  એમ.એસ.સી. પતાવ્યા બાદ મારે અમેરિકા પી.એચ.ડી  કરવા જવું હતું.  મને કોલંબિયા યુનિવર્સીટીમાં એડમિશન મળ્યું અને  વિસા લેવા માટે મારી સાથે તે અમેરિકન કોન્સુલેટમાં  આવ્યા .

    મુંબઈમાં મારા મિત્રોએ એક રેસ્ટોરન્ટમાં પાર્ટી આપી.  અમારી જ્ઞાતિના કુટુંબોએ સન્માન સમારંભ ગોઠવીને હારતોરા કર્યા .  પહેલા પાને લખ્યું તે પ્રમાણે મારી અમેરિકાની યાત્રા થોડા સ્વપ્નો અને થોડા ગભરાટ સાથે શરુ કરી.  હવાઈ જહાજમાં એરહોસ્ટેસે મને મારી સીટ ઉપર બેસાડ્યો અને એક ટ્રેમાં ગરમ પાણીની કીટલી, ટીબેગ, સુગરની પડીકી, ચમચી અને બિસ્કિટ વિ હતા.  મેં ટીબેગ તોડી ચાનો ભૂકો ગરમ પાણીમાં નાખ્યો.  પણ ચા ગાળવાની ગરણી  ના દેખાઈ.  તો મેં એરહોસ્ટેસને બોલાવી ચા ગાળવા માટે કંઈક લાવવા કહ્યું.  તો એણે મને સમજાયું કે સાર, તમારે ટીબેગ તોડાવાની નહોતી પણ આખી જ પાણીમાં નાખવાની હતી .  મારી બાજુમાં એક જનરલ મોટર્સના  એક્ઝિક્યુટિવ બેઠેલા અને તેમણે મને સમજાવ્યું કે અમેરિકા બહુજ આગળ પડતો દેશ છે.  અમે બધુજ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પ્રમાણે કરીએ છીએ.  અમે ટીબેગ એવી બનાવી છે કે ટી ના મોલીક્યુલ પેપરબેગમાંથી  નીકળી ગરમ પાણીમાં આવી જાય અને ટીબેગ અને ચાના કુચા અમે ગારબેજમાં ફેંકી દઈએ છીએ.  પછી એ ભાઈ તેમનું વોલસ્ટ્રીટ જર્નલ વાંચવા માંડ્યા .  ધીમે ધીમે મેં ચમચી વડે ચાના કૂચ બહાર કાઢી લીધા.  હવે મારે સુગર ચાના કપમાં નાખવાની હતી.  તો મને વિચાર આવ્યો કે આ એડવાન્સ સોસાયટી ટીબેગમાંથી ટીના મોલીક્યુલ બહાર નીકળી જાય તેવી બનાવે છે તો સુગરબેગ પણ સુગર મોલેક્યુલ બહાર નીકળી જાય તેવી બનાવી હશે.  એમ સમજી મેં સુગર બેગ આખીને આખી ચાના કપમાં નાખી. મારી બાજુમાં બેઠેલા પેલા એક્ઝિક્યુટિવ મને કહે, “યંગમેન, વોટ આર યુ ડુઇંગ?  મેં કહ્યું કે તમે મને કહ્યું કે અમે ટીબેગ એવી ડિઝાઇન કરી છે કે ટી મોલીક્યુલ બહાર પાણીમાં આવી જાય તો તમે સુગર બેગ પણ એવીજ ડિઝાઇન કરી હશે કે જેમાંથી સુગર મોલીક્યુલ બેગમાંથી બહાર પાણીમાં આવી જાય!  એમણે કહ્યું કે યંગમેન, યુ વિલ નીડ લોટ ઓફ હેલ્પ ઈન અમેરિકા!   હું જરૂર કબૂલ કરું છું કે મારા અમેરિકાના વસવાટ દરમ્યાન મને અનેક વ્યક્તિઓએ ખુબ મદદ કરી છે.


    ક્રમશઃ

  • દિલીપ પરીખની એક અનોખી ચિત્ર શ્રેણી…E=MC2

    રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ

     દિલીપ કૃષ્ણકાન્ત પરીખ એમ.એસ.યુનિવર્સિટી, વડોદરામાં, Physics અને Electronics નો અભ્યાસ કરી, ૧૯૬૫માં ફેલોશીપ મેળવી યુ.એસ.એ. આવેલા. વર્ષો સુધી, Microelectronics Industries, Rockwell International, AT&T Bell Labs, Texas Inst.માં service કરી આજે Austin, Texasમાં નિવૃત્ત-પ્રવૃત્ત જીવન મ્હાણી રહ્યા છે. આધ્યાત્મિક અભ્યાસમાં ખૂબ ઊંડો રસ ધરાવે છે.

    છ દસકા આ દેશમાં રહ્યા પછી પણ ભારતીય સંગીત અને ચિત્રકલાનો રસ જળવાઈ રહ્યો છે. રોજ, શાસ્ત્રીય સંગીત સાંભળતા, ફિઝિક્સ અને આધ્યાત્મિક સમન્વયવાળા ચિત્રો, નિજાનંદ માટે બનાવતા રહે છે. તેમના વધુ ચિત્રો સરયૂ પરીખની વેબસાઈટ પર છે. www.saryu.wordpress.com    hdkp@yahoo.com

    ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ચિત્ર શિક્ષક શ્રી સોમાલાલ શાહના ક્લાસથી રસ જાગ્યો. એ સમયે દોરેલા વોટર કલરમાં ચિત્રો, પેપર રોલ કરી ભારતથી અમેરિકા લઈ આવેલા, તેનાં રંગો હજુ સુધી કાયમ રહ્યા છે.

     

    Sujata…Buddha’s devotee, watercolor 1956. DKP

    દિલીપ કિશોરે કોઈ કાર્ડ પર આ જોઈને જે રંગો લભ્ય હતા તેમાંથી ૧૮”નું ચિત્ર બનાવ્યું. એ સમયે શ્રી સોમાભાઈના મિત્ર, ચિત્રકાર ખોડીદાસ પરમારનો પરિચય થયો અને એક ઉત્સુક વિદ્યાર્થી તરીકે તેમની સૂક્ષ્મ કુશળતા, જેમકે ચિત્રમાં રંગ સૂકાયા પછી ડ્રોઈંગ પેપરને કઈ રીતે ધોવાનું વગેરે મૌન સાક્ષી બની શીખી લીધું.

    Devyani… Kach-Devyani story.1956. DKP

    પુસ્તકો વાંચવાના શોખને કારણે કચ અને દેવયાનીની વાર્તામાં ઘણો રસ. શ્રી.સોમાભાઈના બનાવેલ ચિત્ર પરથી વિદ્યાર્થી દિલીપે ૧૮” ‘દેવયાની’ અને ‘પનિહારી’ ચિત્ર બનાવેલ..

    Panihari. watercolor 1956.    DKPહાઈસ્કૂલ સમયના થોડા ચિત્રો જ જળવાઈ રહ્યા છે. બાકી બીજા ઘણા ક્યાં હશે…તેનો તાગ લગાવવો મુશ્કેલ છે. વર્ષોના અંતરાય પછી…1998 to now. Paintings in Oil color.

    Panihari. DKP.  2010 4’x6’ oil color.  દીકરી સંગીતા અને મૃદુલના નિવાસ સ્થળે

    દિલીપ પરીખની કોલેજ સમયની સફળ કારકિર્દી, ગોલ્ડ મેડલ, સરયૂ મહેતા સાથે ૧૯૬૯માં લગ્ન. આગળના લેખમાં ચિત્રકારની સફરની વાત કરીશું.


    Note: The photocopies do not justify the original art.


    પ્રતિભાવઃ … રસદર્શનઃ શ્રી દિલીપ પરીખની ભાવઘન ચિત્રસૃષ્ટિ.
    નિસર્ગ આહિર, ‘ગુર્જરી ડાયજેસ્ટ’ જુલાઈ ૨૦૨૪.
    “…દરેક ચિત્ર તીવ્ર અસર છોડી જાય છે. આંખને જોવી ગમે એવી રમ્ય આકૃતિ, તેજસ્વી રંગો સાથે ભાવાત્મક, હેતુપુરઃસર સંયોજન – આ બધી ધ્યાનાર્હ ખાસિયતો છે ચિત્રકાર દિલીપ પરીખની…”


    Saryu Parikh  સરયૂ પરીખ  www.saryu.wordpress.com


    શાસ્ત્રીય સંગીત સાંભળતા, ફિઝિક્સ અને આધ્યાત્મિક સમન્વયવાળા ચિત્રો, નિજાનંદ માટે બનાવતા રહેતા શ્રી દિલીપ પરીખની ચિત્રકળાનો આસ્વાદ કરાવતી આ શ્રેણી આપણે દર મહિનાના પહેલા બુધવારે માણીશું.
    સંપાદક મંડળ, વેબ ગુર્જરી
  • પુનરપિ જનનમ ……નવું વર્ષ !

    હરેશ ધોળકિયા

    યુગોથી દિવાળી પછી કે ૩૧ ડીસેમ્બર પછી નવું વર્ષ શરુ થાય છે. યુગોથી તે ઉજવાય છે. તેના આગળના દિવસે રાત્રે લોકો ખાય-પીએ અને નાચે છે. તો નવા વર્ષને દિવસે આખો દિવસ બધાને હળે મળે છે, ફરી ખાઈ-પી ઉજવે છે. આ બધું એવી રીતે કરે છે જાણે કે આ નવું વર્ષ જાણે કોઈ ઉત્તમ બાબત લાવવાનું હોય. જીવનમાં કોઈ નવી સફળતા કે સિદ્ધિ મળવાની હોય. કોઈ ખજાનો મળવાનો હોય. કોઈ અજ્ઞાત આશા સાથે વિશ્વના લોકો નવા વર્ષની ઉજવણી કરે છે. ત્યારે એક બાજુ તેઓ નવું વર્ષ વધારે સારું જાય માટે કોઈ પ્રતિજ્ઞાઓ લે છે કે પોતાનું ભવિષ્ય જુએ છે કે આવતું વર્ષ તેમના માટે કેવું જશે.

    મજાની વાત એ છે કે પછી સમગ્ર વર્ષ મોટા ભાગની આ પ્રતિજ્ઞાઓ પળાતી નથી. વર્ષ પણ આગળનાં વર્ષો જેવું જ સામાન્‍ય જ જાય છે. યહી કિસ્સા પુરાના હૈ ! તેમ છતાં ફરી નવા વર્ષે આ બધી જ વિધિઓ જીવિત કરાય છે 0 ને એ જ ઉત્સાહથી અપનાવાય છે !

    ભગવાન બુદ્ધે સંસારને “ચક્ર” કહ્યો છે. ચક્રનું લક્ષણ છે કે તે શરુ થાય કે ગોળ ગોળ ફરે છે. તે ફર્યા જ કરે છે, જાતે અટકતું નથી. કોઈ અટકાવે તો જ અટકે છે. બુદ્ધ કહે છે કે સંસાર પણ એવો જ છે. તે ગોળ ગોળ ફર્યા કરે છે. અટકતો જ નથી. આપણને લાગે છે કે મૃત્યુ તે ચક્રને અટકાવે છે, પણ બુદ્ધ કહે છે, કે મનુષ્ય સમગ્ર જીવન એટલી આસક્તિથી કર્મ કરે છે કે મૃત્યુ વખતે અનેક કર્મો અધૂરાં રહી જાય છે. એટલે તે પુરા કરવા માણસે ફરીથી જન્મ લેવો પડે છે. એકાઉન્ટ તો પૂરો કરવો જ જોઈએ. એટલે તેને પુનર્જન્મો લેવા પડે છે. જયારે તે અ નાસક્ત થઇ જાય છે, ત્યારે જ આ ચક્ર અટકે છે.

    એ સંદર્ભમાં “નવું વર્ષ” જેવું કઈ છે જ નહિ. સમય પણ ગોળ ગોળ ફરે છે. તેમાં કોઈ એવી જગ્યા નથી જ્યાં આ ફરવું અટકે અને “નવું” ફરવું શરુ થાય. સમય વહ્યો જ જાય છે, સતત, સળંગ, અનંત !

    પણ મનુષ્યે આ સમયના ટુકડા પાડ્યા છે, તેને અનેક વિભાગોમાં વિભાજિત કર્યો છે. દરેક વિભાજનને નામ આપ્યું છે. તેણે એક “ ટ્રીક” કરી છે. તેણે પૃથ્વી બાર મહિના ફરી પુન: એ જ પ્રક્રિયા શરુ કરે છે ત્યારે જે પળે તે પુન: એ જ આંટો શરૂ કરે છે, તેને ખાંચો માની તેને નવું વર્ષ કહે છે. એક ભૌગોલિક ઘટનાના બે ટુકડા કરી એકને અંત માને છે અને બીજાને શરૂઆત કહે છે. આ શરૂઆતને નવું વર્ષ માને છે. તેને આધારે જ વર્ષ મપાય છે અને તેનું દસ્તાવેજીકરણ કરાય છે.

    પણ મૂળ વાત એ કે કહેવાતું નવું વર્ષ હકીકતે કહેવાતા જુના વર્ષની જ આગળ ચાલતી ઘટના છે. તે એક “રૂટીન” છે. રૂટીન એટલે જેમાં પરિવર્તન ન થાય. તે હતું તેવું જ રહે. એટલે જ કહેવાતા નવાં વર્ષો “તેવાં જ” રહે છે. હા, ઘટનાઓ કે તેના પ્રતિભાવો બદલાતા દેખાય છે કે અનુભવાય છે, પણ હકીકતે તે હતા તેવા જ રહે છે. કદાચ આકારો બદલાતા દેખાય છે, પણ તેમનો ભાવ એવો જ રહે છે. શંકરાચાર્ય કહે છે ને કે પુનરપિ જનનમ પુનરપી મરણમ ! ચાલ્યા જ કરે છે.

    આ સંદર્ભમાં દરેક નવા વર્ષને જોવાનાં છે. વૃદ્ધાવસ્થા આવે ત્યારે જો તટસ્થતાથી વીતી ગયેલ સમગ્ર જીવનને જોવાય તો ખ્યાલ આવશે કે બધા જ વર્ષો “એવાં જ “ ગયાં છે. આપણને વહેમ રહે કે ભણ્યા કે નોકરી કે ધંધો કર્યા કે લગ્ન કર્યા કે બાળકો ઉછેર્યા …આ બધાં વિવિધ કાર્યો હતા ! પણ, તત્વજ્ઞાન કહે છે કે આ બધા કામો દરેક જન્‍્મોમાં કર્યાં જ હતાં. એટલે આ જન્મમાં કર્યાં તે કોઈ નવાઈની બાબત ન હતી. હા, આપણને આગળ જન્મોની સ્મૃતિ નથી એટલે આ બધાં માત્ર “આ” જન્મનાં ! ને નવા કાર્યો લાગે છે.

    વિવેકાનંદ એક પ્રવચનમાં કહે છે કે શ્રોતાઓ આ પ્રવચનને, તેમના જ મુખે, આ જ સ્થળે, સેંકડો વાર સાંભળી ચુક્યા છે. માત્ર તેમને તેની ખબર નથી. આ અજ્ઞાન જ “નવું”ને માને છે, બાકી તે અનંત વાર થઇ ગયેલ બાબત જ છે જે નવી ‘લાગે છે.’ પણ આ ‘લાગવું’ ભ્રમણા છે. એટલે નવું વર્ષ ઉજવવું ચોક્કસ, તે જ આપણે તાજા રાખે છે, ઉત્સાહિત રાખે છે, રૂટીન તોડે છે, પણ મનમાં બરાબર ખ્યાલ રાખવો કે આ માયા છે. જેમ દરરોજ સૂર્ય ઊગે ત્યારે મનુષ્ય માને છે કે નવો દિવસ શરુ થયો, પણ હકીકતે સૂર્ય નથી ઊગતો કે નથી આથમતો. માત્ર પૃથ્વી ફરવાને કારણે અને ક્ષિતિજની મર્યાદાને કારણે આવા આભાસો થાય છે.

    નવું વર્ષ પણ આવું જ છે! છતાં તેને ઉજવવાનું છે કારણ કે જીવનનો એક દિવસ તેના બહાને આનંદમય જાય અને આવનારા વર્ષમાં પણ આવો જ આનંદ રહેશે એ શ્રદ્ધા તેને આવનારા દિવસો પણ આનંદમાં જશે એ અપેક્ષાથી જીવવામાં મદદ કરે છે. પણ તેને એ ખ્યાલ પણ છે કે અનેક ચિંતાઓ, ભયો, ઉપાધિઓ વર્ષને ધૂંઘળું જ રાખશે.

    તો શું જીવનમાં ઉદાસીન રહેવું ? તો જીવવાની મજા કેમ આવશે ?

    ના, સત્ય ક્યારેય ઉદાસીન ન કરે. તે હમેશા આનંદ તરફ જ લઇ જાય.

    પ્રથમ એ સત્યને સમજવાનું છે કે જીવન એક ચક્ર છે. આ ચક્ર સતત ચાલે છે. ચાલવાનું કારણ અનેક કર્મો છે. કર્મોનું કારણ અપેક્ષા અને આસક્તિ છે, અધુરપ છે, અભાવ છે. અને ચિંંતાઓ વગેરે પણ આ અપેક્ષા કે અભાવનું જ પરિણામ છે. તે હશે ત્યાં સુધી ચક્ર ચાલતું જ રહેશે. એટલે ચક્રને આટકાવવું હશે તો ચાલવા માટેનું પેટ્રોલ આપવું બંધ કરવું પડશે. તો જ ચક્ર અટકશે.

    પણ તો પછી કરવું શું ? કર્મ ન કરવાં ?

    ના, કર્મો તો કરવાં જ પડશે, શરીરને પોષવા. પણ જો તટસ્થતાથી, અનપેક્ષ રીતે, અભાવ ન અનુભવીને કર્મ કરવામાં આવશે, તો પેટ્રોલનો જથ્થો ઓછો થતો જશે. ચક્ર ધીમું પડતું જશે. ભયંકર ગતિથી જે ચક્કર ચડતા હતા અને મન અસ્થિર રહેતું હતું, તે ધીમે ધીમે સ્થિર થવા માંડશે. સ્થિર મન સ્વસ્થ થવા માંડશે. સ્વસ્થ મન તૃપ્ત થવા માંડશે. તૃપ્તિ અપેક્ષાઓને દૂર કરશે. પોતામાં જ આનંદ છે તેનો ખ્યાલ આવવા માંડશે. એટલે હવે તે બહારના કહેવાતા આનંદોને છોડી સ્વ-આનંદનો આનંદ લેવા માંડશે. આત્મ-તૃપ્ત રહેશે. મન-બુદ્ધિ પર આજ સુધી રહેલો બોજો હટી જશે અને તે બંને પૂર્ણ સ્વસ્થ થઇ જશે, આનંદમાં ડૂબી જશે. જેમ વાદળાને કારણે ઢંકાયેલ સૂર્ય નથી દેખાતો, તેમ અતૃપ્ત ઇચ્છાઓના કારણે સ્વ-આનંદ નથી અનુભવી શકાતો. પણ એક વખત મન-બુદ્ધિ પર રહેલ ચિંતાઓ કે ઉપાધિઓ હટશે કે તરત તેઓમાં રહેલ આનંદ પ્રગટ થશે અને વ્યક્તિ તેનાથી છલકાઈ જશે. બસ, હવે તેને કોઈ બાહ્ય આનંદ કે સુખની ગુલામી ભોગવવી નહી પડે. પોતામાં રહેલ આનંદના અનંત મહાસાગરમાં ડૂબકીઓ મારશે ને તેનો સ્વાદ માણશે.

    હવે તેનું નવું વર્ષ જ નહિ, નવો જન્મ શરુ થશે. તે આખરી જન્મ હશે. હવે ગતિ-મોમેન્ટમ -બંધ થવાથી ચક્ર ધીમુ પડતું જશે, સ્થિરતાનો, અચલતાનો, તટસ્થપણાનો અનુભવ થવા લાગશે.

    હવે પછીનો સમય તેના માટે માત્ર નવું વર્ષ જ નહિ, પણ દરેક પળ નિત્યનૂતન બની જશે. તે કેલેન્ડર આધારિત નહિ હોય કે પૃથ્વીના ફરવાના આધારે નહિ હોય, પણ માત્રને માત્ર આંતરિક આનંદ આધારિત હશે.

    બાહ્ય નવા વર્ષ આધારિત ખંડિત જીવવું કે આંતરિક શાશ્વત આનંદ આધારિત જીવવું એ મનુષ્યની પસંદ્દગી છે.

    બંને નવા વર્ષની શુભેચ્છાઓ.

    ૦0000

    ( કચ્છમિત્ર : તા: ૪-૧-૨૬: રવિવાર)


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • વિચારું છું….

    વિચારું છું, ન વિચારું છતાં પણ હું વિચારું છું.
    વિચારીને પછી મિથ્યા ગણી મનને મનાવું છું.

    નથી કૈં સત્ય કે ના તથ્ય, છે માયાવી જાળો આ
    ને અંતે એ વિચારીને પછી સઘળું વિસારું છું.

    જગતમાં જાત છે ને જાતમાં આખું જગત પણ છે.
    ફરક તોયે ધરા ને આભના જેવો નિહાળું છું.

    કદી ના ઊડવું ઉપર, કહે છે ઉડતું પંખી!
    નથી માળો થતો આભે, તો હું વૃક્ષો સજાવું છું.

    હતું મનમાં, પડી જળમાં, તરી જાશું વિના નૈયા
    નદી સૂકાય જો વચમાં, ઉરે સાગર સમાવું છું.

    નગારાં સૌ વગાડે નિજનાં ચારે દિશાઓમાં,
    જઈ એકાંત, રાખી મૌન, બસ, અક્ષર ઉતારું છું.

                                 — દેવિકા ધ્રુવ


    :આસ્વાદઃ 

    જયશ્રી વિનુ મરચન્ટ

    “વિચારો, વિચારો અને આ વિચારો
    થયાં કોઈનાં ક્યાં સગાં આ વિચારો?”

    આ વિચારોની સાથે પોતાપણું જોડવું કે ન જોડવું, એ નિર્ણય કદી આપણો નથી હોતો. શ્વાસોની જેમ જ, જીવતે જીવ વિચારો, – સારા કે ખરાબ, ખરા કે ખોટા, -આજીવન આવતા જ રહેવાના છે.  વિચારો સાથે એક જાતની સંવાદિતા, મન અને આત્મા જો સાધી શકે તો એ વિચારો ફળદાયી નિવડે છે; પણ માણસનું મન એટલું અવળચંડું છે કે વિસંવાદિતાના ઘેરાવામાં અજાણે જ ઘેરાઈને પોતા માટે જ દ્વિધા અને વ્યથા ઊભી કરવાનું એને ગમતું હોય છે! માણસના મનમાં ટેકનીકલર ફિલ્મ સમા ચાલતા આ વિચારોમાં મિથ્યાપણું કે તથ્ય છે, એ નક્કી કરવું સહેલું નથી. મિથ્યાપણામાં લિપ્ત થવું, એ ઢાળ ઊતરવા જેવું છે. એકવાર એ ઢાળની છંદે ચઢી ગયાં, તો પછી “શતમુખ વિનિપાત છે નિર્મેલો…!”. પણ, એના પહેલાં, જો પોતાને સંભાળીને, સ્વચ્છંદી વિચારો પર આધિપત્ય સ્થાપીને વિચારીએ, કે, “મારાથીયે કાબેલ અને ઊર્ધ્વગામી અભિગમ રાખનારાં અનેક છે” ત્યારે જ સમજાય છે કે આપણે ખુલ્લાં મનથી ખુદાની ખુદાઈને જોઈને જાણવી આવશ્યક છે,એ સમજવા કે આપણે કંઈ જ નથી.
    અહીં ફરાગ રુહવીનો એક શેર યાદ આવે છે.

    “મુઝ કો થા યે ગુમાં કિ મુઝ હી મેં હૈ એક અદા
    દેખી તેરી અદા તો મુઝે સોચના પડા ..!”

    સત્ય અને તથ્યની એરણ પર જીવનની ઘટનાઓને, એના પર આવતા વિચારોને કસવાની વાત કવયિત્રી કરે છે. તો, એનું હાંસિલ શું, એનો જવાબ પણ ઈશાવાસ્યવૃત્તિથી આપતાં કહે છે કે જિંદગી વિચારોની માયાજાળ બિછાવે છે. પણ, સંભાળજો, એમાં ફસાયા તો ઘસાયા! આથી બહેતર તો એ છે કે, આ ભ્રમિત કરતાં વિચારોને વિસારી દેવા.       

    આપણી જિંદગીની ગતિના અવરોધક પણ આપણે અને સારથી પણ આપણે જ છીએ. નકામા, અને વિરોધાભાસી – Conspiracy-ના વિચારવમળમાં, વહી પણ જવાય અને સમજણપૂર્વક રોકવા હોય તો રોકી પણ શકાય. અહીંયા, મનોભૂમિના કુરુક્ષેત્રમાં યોદ્ધા પણ આપણે જ અને સારથી પણ આપણો આત્મા જ છે. વિચારોમાં સમજણ અને સમભાવનું સાયુજ્ય કેળવાય, ત્યારે જ મન અને આત્મા દ્વૈત ન રહેતાં, અદ્વૈતની સફર પર નીકળી પડે છે. અને તે ઘડીએ નર અને નારાયણ એક બની જાય છે.

    ચતુઃશ્લોકી ભાગવતમાં શ્રીકૃષ્ણ કહે છે એમ, “સત્ અને અસત્ કે પછી અ-ક્ષર અને ક્ષર બંને મારી માયાના સ્વરૂપ જ છે.” આ જગતમાં જે પણ ચર-અચર છે એમાં નારાયણ જ વસે છે. સ્થૂળ દ્રષ્ટિએ તો આપણે આ જગતમાં વસીએ છીએ, જેને શ્રી હરિએ જ બનાવ્યું છે. પણ આ જગતના કણકણમાં હરિનો જ નિવાસ છે. જો અણુએ અણુમાં એનો જ અંશ છે, અને, આત્મા એ જ પરમાત્માનું સ્વરૂપ છે, તો, એ હિસાબે શિવનો વાસ દરેક જીવમાં છે. આપણા શરીરના રોમરોમમાં જ સમષ્ટિ, – કે જે પરમાત્મા સ્વયં છે – એનો જ વાસ છે. અહીં ફરીથી એ જ, દ્વૈત અને અદ્વૈતના ફરકને Conceptulaize – પરિકલ્પના કરીને કવિ કહે છે કે, આ બધું ખબર છે છતાં પણ, દ્વૈતભાવ હાવી થતાં જગત અને જાત એકમેકમાં ઓગળી નથી શકતી. અને બેઉ વચ્ચેનો ફરક તો આભ અને ધરતી જેમ ઉપસી આવે છે. અહીં યાદ આવે છે, “શૂન્ય” પાલનપુરી.
    “તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઈચ્છા
    કરે છે તુ પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી” 

    કવયિત્રીએ એક પ્રકારના Trans State of Mind માં આ ગઝલના આ બે શેર લખ્યા છે-

    “કદી ના ઊડવું ઉપર, કહે છે ઉડતું પંખી!
    નથી માળો થતો આભે, તો હું વૃક્ષો સજાવું છું.

    હતું મનમાં, પડી જળમાં, તરી જાશું વિના નૈયા
    નદી સૂકાય જો વચમાં, ઉરે સાગર સમાવું છું.”

    ઉપર ને ઉપર, આભને આંબી જવાની આપણે કેટલીયે મહત્વાકાંક્ષા રાખીએ તો પણ, ઊડાન પૂરી થતાં, આ ધરતી પર તો આવવું જ પડે છે, બિલકુલ આભમાં ઊડતાં પંખીને જેમ દિવસભર આભમાં ઊડી ઊડીને અંતે ધરતી પર ઊગેલાં વૃક્ષ પરનાં માળામાં આવવું જ પડે છે. આકાશને આંબતી ઊડાન ભરો તો ભલે, પણ નીચે, ધરતી પરના કોઈ એક વૃક્ષ પર વિસામા માટે એક માળો રાખજો. કારણ,  આકાશની ઊડાન પણ શાશ્વત નથી. હા, એ સમજાય તો છે, પણ, એક પ્રકારનો અંતરનો અજંપો મનને જંપવા પણ ક્યાં દે છે? ક્યારેક એવુંય થાય છે કે આ ભવની નદીમાં, સાગર સુધી પહોંચવામાં નાવના અવલંબનનીયે જરૂર શું કામ? આપણે પણ મસ્તીમાં કંઈ પણ ઉપકરણ વિના ઊડતાં પંખીની જેમ, જીવતરની નદીને, નૌકા કે હલેસાં વિનાં જ પાર કરી જઈએ! ત્યારે એ ભૂલી જવાય છે કે આ ભવની નદીનું વહેણ પણ નશ્વર છે. એક મુદ્દત સુધી તો નીર વહે છે, પછી સાગર તરફ ધસમસતી નદીનું આયુષ્ય પૂરૂં થતાં વહેણ સૂકાય છે અને ત્યારે સમજાય છે કે ઈશ્વર ખુદ સાગર બનીને આપણા અંતરમાં જ તો ઘૂઘવી રહ્યો છે…! અહીં ગઝલ પરમતત્ત્વની સમક્ષ પલાંઠી વાળીને, “ઓમ”ના ધ્યાનમાં બેસી જાય છે. આના પછી, ઊર્ધ્વગામી બની ગયેલી આ ગઝલના અર્થોને કોઈ શબ્દોમાં આગળ ઢાળી શકવા શક્ય નથી.

    ગઝલના મક્તા સુધી આવતાં, કવિ એક એકરાર કરી લે છે, સર્વથી શરૂ થયેલી ‘ક્ષર’ સફરમાં, અંતે પોતાની જાત સાથે તાદાત્મ્ય સાધીને, ‘અ-ક્ષર’માં પોતાને ઉતારવાની વાત કરે છે

     “નગારાં સૌ વગાડે નિજનાં ચારે દિશાઓમાં,
    જઈ એકાંત, રાખી મૌન, બસ, અક્ષર ઉતારું છું.”

    આમ, ‘ક્ષર’ વજૂદને ‘અ-ક્ષર’માં ઉતારવાની આ યાત્રાના મૂળમાં રહેલા અદ્વૈતનો કવયિત્રી અંતે પોતાના અંતરમનમાં “અહમ્ બ્રહ્મોસ્મિઃ” સ્વરૂપે સાક્ષાત્કાર કરે છે.

     દેવિકાબહેન ધ્રુવ એ ડાયસ્પોરા સાહિત્યમાં એવું નામ છે કે જેને ચાતરી ન જ શકાય. એમની ગઝલોમાં છંદની ચુસ્તતા અને શબ્દાર્થની જુગલબંધીની મજા અલગ જ હોય છે. આ આખી ગઝલમાં જે વિરક્તિ છે તે અનાયાસે આવી હોવાથી પોતાના અર્થો ભાવક પાસે પોતે જ કરાવી લે છે.  દેવિકાબહેનની કલમની આ છૂપી તાકાત છે. એમની પાસેથી ગુજરાતી ભાષાને ખૂબ અપેક્ષા છે. બસ, મને એટલી તો ખાતરી છે જ કે આવા સુંદર કાવ્યો એમની પાસેથી સદાય મળતાં રહેશે. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, દેવિકાબહેન.  

  • અટલ : વિલસી શકી હોત એવી એક ગાયકી

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    અટલ શતવર્ષી સમારોહ (ડિસે.’૨૩-ડિસે.’૨૫) જોતજોતાંમાં વિદાય પણ થઈ ગયો! પક્ષપરિવારની બહાર વ્યાપક ચાહના અને સ્વીકૃતિની દૃષ્ટિએ એમની કારકિર્દી અક્ષરશ: પ્રતિમાન રૂપ હતી. તમે નિ:શંક કહી શકો કે વક્તૃત્વના ધણી વાજપેયી પક્ષપરિવારની સંગઠનાત્મક તાકાત વિના દિલ્હીમાં ગાદીનશીન થઈ શક્યા હોત એવું કલ્પી શકાતું નથી, તો સાથેલગું જેની અપીલ પક્ષ અને પરિવારને વટી ગઈ હોય એવી બીજી શખ્સિયત પણ કલ્પી શકાતી નથી. યાદ નથી, સુકેતુ કે ધનપાલે મને કહ્યું કે ૧૯૬૭ની લોકસભાની ચૂંટણી પૂર્વે જુનિયર ચેમ્બરે વિવિધ પક્ષોના રાષ્ટ્રીય નેતાઓની અત્યંત સફળ વ્યાખ્યાનશ્રેણી યોજી ત્યારે દીનદયાલે કહ્યું હતું કે ‘માસ કન્ઝપ્શન’નો મામલો છે એટલે મને નહીં પણ અટલને ઊંચકી જાઓ. (જોકે પછી મધોક પ્રગટ્યા હતા અને ઝળકી ઊઠ્યા હતા.) સંઘનું શીર્ષ નેતૃત્વ મધોક કરતાં વધુ વાજપેયીને ઈચ્છતું હશે તે પછીના ઘટનાક્રમથી સમજાઈ રહે છે.

    એ ૧૯૫૭માં બલરામપુર-ગોંડાથી ચુંટાઈ સંસદમાં પહોંચ્યા અને ગૃહમાં પહેલી તક સાથે જ એવા તો ઝળક્યા કે નેહરુ મુખે કથિત રૂપે એમને ‘ભાવિ વડાપ્રધાન’ કહેવાયા. વસ્તુત: આવો કોઈ ઉદગાર ક્યાંય નોંધાયેલો નથી તેવું સ્પષ્ટ વિધાન અભિષેક બેનરજીએ વાજપેયીની અધિકૃત જીવનીમાં ખાસી ખણખોદ બાદ નોંધ્યું છે. છતાં, આ લોકોક્તિમાં વાજપેયીની પ્રતિભાનો સ્વીકાર નથી એવું તો કહી શકાતું નથી. વાજપેયી માટે નહીં પણ વાજપેયી મુખે મુકાયેલી એક બીજી ઉક્તિ પણ જાણીતી છે: બાંગલા ઘટના પછી એમણે ઈંદિરા ગાંધીને ‘દુર્ગા’ કહ્યાં હતાં. આ ઉક્તિ પણ ખુદ વાજપેયીએ ‘આપ કી અદાલત’માં રજત શર્માને ઓન રેકોર્ડ કહ્યા પ્રમાણે કાલ્પનિક છે. છતાં, અન્યની શક્તિ પ્રતિભાનો સમાદર કરવાની વાજપેયીની સહજ પ્રતિભા જોતાં અને એ ક્ષણનું ઈંદિરાઈ નેતૃત્વ જોતાં ‘દુર્ગા’ પ્રયોગ કેવો સહજ લાગે છે!

    ભેગંભેગા એક ત્રીજી જ ઉક્તિ સંભારી લઉં. અયોધ્યા આંદોલનને પરવાન ચડી હશે એ દિવસોમાં એમને અન્યત્ર જોઈને કુલદીપ નાયરે પૂછેલું- તમે ત્યાં નથી ગયા? વાજપેયીએ લાગલું જ કહેલું- રામભક્તો ત્યાં છે, અને દેશભક્તો અહીં! એ અલબત્ત જાણીતી વાત છે, અને અડવાણીએ આત્મકથામાં નોંધ્યું પણ છે કે અમે ભાગ્યે જ અસમ્મત થતા હોઈશું, પણ રથયાત્રાના મારા વિચાર સાથે વાજપેયી સમ્મત નહોતા. એક રીતે, આ વિધાન સાથે શતાબ્દીપુરુષ વાજપેયીના નેતૃત્વ વિશે વિમર્શની શરૂઆત થઈ શકે. કારણ, એક બાજુ જો આ અસમ્મતિ છે તો બીજી બાજુ અડવાણીનું એ અદભુત અવલોકન છે કે લોકો એમને ઉદાર માને છે, અને મને હાર્ડ લાઈનાર માને છે, પણ અમે સામાન્યપણે એક જ વૈચારિક ફ્રિકવન્સી પર હોઈએ છીએ. માત્ર, લોકોની આ લાગણી બેઉ છેડેથી એકત્ર થઈ પક્ષને સારુ સમર્થનકારી શક્તિ બની રહે છે.

    આ ધોરણે વિચારીએ તો વાજપેયીને ‘આધા કોંગ્રેસી’ માનતી ઋતંભરાની સમજ એક છેડેથી કંઈક અધકચરી ને પૂર્વગ્રહદૂષિત પણ લાગે અને નેહરુનીતિ માટેના પ્રેમ ને પક્ષપાતને પરિણામે પં. અટલ બિહારી નેહરુ કહેવાતા (વળી વ્યાપક સ્વીકૃતિ પ્રાપ્ત) અટલબિહારીનો પાટલો ઊંચે આસને પણ પડી શકે. 1977માં મોરારજી પ્રધાન મંડળમાં વિદેશ મંત્રીનો અખત્યાર સંભાળ્યા પછી અદકપાંસળા ઉત્સાહી સ્ટાફે ખસેડેલ નેહરુ છબીને સાઉથ બ્લોકમાં પુન:પ્રતિષ્ઠ કરાવનાર અટલબિહારીએ નેહરુના નિધન વખતે લોકસભામાં આપેલી અંજલિ અપ્રતિમ છે- એક ગીત થા, જો અધૂરા રહ ગયા! અટલબિહારીનું જાહેર જીવન પણ ચોક્કસ જ એક ગીત હતું જે અધૂરું રહી ગયું જોકે, ખરું જોતાં આ એક ગીત હતું જે વંકાઈ ગયું, અને રમતું ગમતું પણ કંઈક રોળાઈ ગયું.

    છતી મુદ્દાપકડે તકચૂક એ એમની કમનસીબી રહી. પક્ષને જયપ્રકાશના આંદોલનમાં સહભાગી કર્યો તે મોટી ઘટના હતી. અમે જ્યારે (રાષ્ટ્રભક્તિના ગર્જનતર્જનથી ઉફરાટે) આમ જનતાના આંદોલનમાં જોડાઈએ છીએ ત્યારે રાજકીય કાર્યકર્તા તરીકેના અમારા ચારિત્ર્યમાં પણ બદલાવ આવે છે, એવી એમની આશ્વસ્તકારી પ્રતીતિ કોઈક તબક્કે હવાઈ ગઈ. જનસંઘના જનતાવતાર પછી પક્ષભંગાણ વખતે એમણે સંઘશ્રેષ્ઠીઓને પાયાનો પ્રશ્ન કીધો, નક્કી કરો, તમે આર્યસમાજની જેમ સુધાર સંસ્થા છો કે રાજકીય પક્ષ છો. ભારતીય જનતા પક્ષની રચના વખતે પાયાના સિધ્ધાંત તરીકે સકારાત્મક બિનસાંપ્રદાયિકતા અને ગાંધીવાદી સમાજનો સ્વીકાર કરાવી શક્યા.

    વડાપ્રધાન તરીકે ૧૯૯૯માં લાહોર બસયાત્રા સાથે મિનારે પાકિસ્તાનની સત્તાવાર મુલાકાતનું નૈતિક સાહસ દાખવ્યું. ૨૦૦૨માં રાજધર્મના પાલનની તાકીદ કરી પણ રાજીનામું ન લઈ શક્યા. અહીં આપેલ દરેક દાખલે નવી ભોં ભાંગવાની શક્યતા ખૂલી ખૂલીને ઠીંગરાઈ ગઈ. તાળી અલબત્ત બે હાથે વાગે. પણ પોતે કરેલી પહેલને તહેદિલ આવકારતો પક્ષપરિવાર? એ કાં તો ગાયબ કે પછી પેટમાં રહીને… ‘રાઈટ મેન ઈન રોંગ પાર્ટી’ એ કદાચ એમની ઈતિહાસનિયતિ રહી. પહેલો સાચો અવાજ નીકળે એની ફરતે ભળતાસળતા અવાજોને અવકાશ આપે: એક કવિહૃદય હતું જે રોળાઈ ગયું, એક ગીત હતું જે મોચવાઈ ગયું. એમની સંભાવનાઓ ને એમની મર્યાદાઓ, કાશ, વૈકલ્પિક વિમર્શ સારુ દીવાદાંડી બની રહે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૩૧ – ૧૨– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • વિલુપ્ત થતી સાંભળવાની કળા

    મંજૂષા

     વીનેશ અંતાણી

    કુટુંબનાં બધાં સભ્યો ડાઇનિગ ટેબલ પર સાથે ડિનર લેવા બેઠાં છે. પિતા એના પંદર વર્ષના દીકરાને કશીક મહત્ત્વની વાત કરી રહ્યો છે. દીકરાનું ધ્યાન સેલ ફોન પર છે. પિતાનો અવાજ એના કાને પડે છે, પણ એ એની વાત ‘સાંભળતો’ નથી. એથી ઊલટું દૃશ્ય. દીકરો પિતાને એને અભ્યાસમાં પડતી મુશ્કેલી જણાવી રહ્યો છે. પિતા માથું હલાવે છે, પરંતુ એનું મગજ બિઝનેસની સમસ્યામાં ગૂચવાયેલું છે. પતિ-પત્ની વચ્ચે ચાલતી ઉગ્ર બોલાચાલી દરમિયાન બેમાંથી કોઈ સામેની વ્યક્તિનો મુદ્દો સમજવા તો ઠીક, એને સાંભળવા પણ તૈયાર નથી, બંને પોતપોતાની વાત એકસાથે રજૂ કરી રહ્યાં છે. વાક્યો સાથે વાક્યો અથડાય છે. ચકમક ઝરે છે અને પછી સંબંધોનો વિનાશ કરી દેતી આગ ભભૂકી ઊઠે છે.

    સંસદમાં વિરોધપક્ષના સભ્યો સરકારની નીતિ સામે પ્રશ્ર્નો ઉઠાવી રહ્યા છે. સત્તાપક્ષના સભ્યો પૂરી વાત સાંભળ્યા વિના ઊભા થઈ વિરોધ કરે છે. એવું જ વિરોધપક્ષના સભ્યો સરકાર સામે કરી રહ્યા છે. હોહલ્લાના વાતાવરણમાં દેશના નાગરિકોના ટેક્સના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે.

    ટી.વી.ની ન્યૂઝ ચેનલો પર ડિબેટ ચાલે છે. ટી.વી. જોનાર ‘લાચાર’ લોકોને શોરબકોર સિવાય કશું સંભળાતું નથી. શ્રમિકો, ખેડૂતો, ગૃહિણીઓ એમના પ્રશ્ર્નોનું સમાધાન ઇચ્છે છે. કોઈ એમને સાંભળતું નથી.

    આજે આપણે અનેક પ્રકારના કોલાહલની વચ્ચે જીવી રહ્યાં છીએ. દરેક મિનિટે લાખો ટેક્સ્ટ મેસેજ, ટ્વિટ્સ, ઇ-મેઇલ દુનિયાના એક ભાગમાંથી બીજા ભાગમાં પ્રસરી રહ્યા છે. એ અર્થમાં આપણે અગાઉ ક્યારેય નહોતા એટલા કનેક્ટેડ – જોડાયેલા – છીએ, છતાં કોઈ કોઈને સાંભળતું નથી, પોતાની જ વાત કહેવા અધીર થઈ ગયા હોઈએ એવી લાગણી જન્મે છે. દરેક માણસ જાણે પોતાના વિચારો, માન્યતા, અભિપ્રાયોની બોમ્બવર્ષા કરવા આતુર છે.

    સંવાદનાં બે મજબૂત સ્તંભોમાંથી એકની ઉપેક્ષા કરવામાં આવે છે. સંવાદ એક પુલ છે. એને મજબૂત રાખવા માટે સામસામેના છેડે બે સ્તંભોની જરૂર પડે છે. એક સ્તંભ છે બોલવું અને બીજો સ્તંભ છે સાંભળવું. સંવાદના એક છેડે બોલનાર હોય અને સામે છેડે કોઈ સાંભળવા તૈયાર જ ન હોય તો સંવાદનું વર્તુળ પૂરું થતું નથી. સંવાદ ભ્રષ્ટાચારથી ખરડાયેલા પુલની જેમ તૂટી પડે છે.

    બોલવાની પ્રવૃત્તિને સામાન્ય રીતે આત્મવિશ્ર્વાસ, બુદ્ધિકૌશલ્ય અને લીડરશીપના ગુણો સાથે જોડવામાં આવે છે. સાંભળવાની ક્રિયાને મોટે ભાગે મહત્ત્વની ગણવામાં આવતી નથી. જેટલું મહત્ત્વ બોલવાનું છે એટલું જ મહત્ત્વ સાંભળવાનું પણ છે. આજે સાંભળનાર વ્યક્તિને સામેની વ્યક્તિ શું કહે છે તે સાંભળવામાં રસ હોય એથી વધારે એ જવાબ આપવા માટે ઉત્સુક અને ઉતાવળી બની ગઈ છે. આ સ્થિતિ તંદુરસ્ત સંવાદ માટે ભયાનક ક્રાઇસિસ છે.

    વ્યવસ્થિત, તાર્કિક, સમજણભર્યા મુદ્દાઓનું સ્થાન પ્રતિકાર અને પ્રતિ-આક્ષેપો, બયાનબાજીના અતિરેકે લીધું છે. સાંભળનારે ધ્યાનથી સાંભળવું અને બોલનારની વાત પૂરી થાય પછી જ પોતાનો પક્ષ રજૂ કરવો જોઈએ, બોલનારે પણ સાંભળનારને સાંભળવાની તૈયારી રાખવી પડે. કંપનીઓના બોર્ડરૂમ, સ્કૂલોના વર્ગખંડો, લગ્નજીવન, મૈત્રી,, રાજકારણ સહિત જીવનનાં લગભગ બધાં ક્ષેત્રોમાં તંદુરસ્ત સંવાદની ભૂમિકા ઘટવા લાગી છે. દરેક જણ જાણે એકોક્તિમાં સરી પડ્યું છે. ડૉક્ટર દરદીની વાત ધીરજ અને શાંતિથી સાંભળી શકે તો અર્ધું નિદાન આપોઆપ શક્ય બને છે, વડીલો સંતાનોની વાત સાંભળે તો પરિવારનો પાયો મજબૂત બને છે. શિક્ષકોએ સમજવું જોઈએ કે વિદ્યાર્થીઓ નિર્જીવ પૂતળાં નથી. સાંભળવાની ક્રિયાને ગૌણ માનવાની ભૂલ કરવા જેવી નથી.

    બીજાની વાત સાંભળવી એ ભાવનાત્મક, બૌદ્ધિક અને વ્યાપક અર્થમાં નૈતિક પ્રક્રિયા છે. સાંભળવામાં રુચિ દાખવવાથી બીજી વ્યક્તિની લાગણીઓ, વિચારો, અનુભવો અને જરૂરિયાતને સમજવાની ચાવી મળે છે, સંબંધ બંધાય છે, સમસ્યાનો ઉકેલ મળે છે, અરસપરસ ભરોસો બેસે છે અને ગેરસમજ દૂર થાય છે. ‘હું જ સાચો’ જેવું વલણ સંવાદનો કચ્ચરઘાણ કાઢી નાખે છે.

    ગ્રીકના ફિલોસોફર એપિક્ટેટસે કહ્યું હતું – ‘ભગવાને આપણને મોઢું એક આપ્યું છે, પરંતુ કાન બે આપ્યા છે, જેથી આપણે બોલીએ એથી બમણું સાંભળીએ,’ આજનો યુગ કૃત્રિમ ઉત્તેજનાનો છે. નોટિફિકેશન્સ, બ્રેકિન્ગ ન્યૂઝ, સોશિયલ મીડિયા અને માહિતીનો ધોધ વહી રહ્યો છે. એને કારણે લોકોને લાંબો વિચાર કર્યા વિના તત્ત્ક્ષણ પ્રતિભાવ આપવાની આદત પડવા લાગી છે.

    ડિજિટલ ટેક્નોલોજીના સમયમાં આપણે ઉપર ઉપરથી વાંચી-જાણી લેવાની અને ઝડપથી સર્ફિન્ગ કરવાની આવડત કેળવી લીધી છે, પરંતુ વિચારને, કોઈ મતને, પચાવી લેવાનો ગુણ ગુમાવવા લાગ્યાં છીએ. ઓનલાઇન ચાલતી દલીલોમાં સાંભળવાની જરૂર રહી નથી.

    એકપક્ષીય સંવાદમાં આક્રમકતા, કટાક્ષો, આક્ષેપો અને જાતે જજમેન્ટ આપી દેવાની મોકળાશ વધતી ગઈ છે. વાતચીતનું સ્થાન સ્ટેટમેન્ટ્સ, ચર્ચાની જગ્યાએ બૂમબરાડા અને અર્થપૂર્ણ વિધાનોને બદલે સ્લોગન સંવાદનું આધુનિક રૂપ છે.

    અમેરિકાનો મૂળ વતની એક રેડ ઇન્ડિયન પુરુષ ન્યૂ યોર્કની ભરચક સડક પર મિત્રની સાથે જતો હતો. કાન બહેરા કરી નાખે એવા ટ્રાફિક અને લોકોના અવાજોની વચ્ચે જંગલમાં ઊછરેલી એ વ્યક્તિ અચાનક ઊભી રહી અને બોલી – ‘મને તમરાંનો અવાજ સંભળાય છે.’ મિત્રે કહ્યું: ‘તું પાગલ છે, આવા કાન ફાડી નાખતા અવાજોમાં તને તમરાનો અવાજ સંભળાય જ નહીંને.’ રેડ ઇન્ડિયન અવાજની દિશામાં ગયો. ત્યાં જંગલમાથી આવેલી એક ટ્રક ઊભી હતી. એના કચરામાં નાનકડું તમરું બોલતું હતું. રેડ ઇન્ડિયને મિત્રને બોલાવ્યો અને તમરું બતાવ્યું. મિત્રે કહ્યું: ‘તારી પાસે સુપર હ્યુમન કાન લાગે છે.’ રેડ ઈન્ડિયને જવાબ આપ્યો: ‘મારા કાન તમારા જેવા જ છે, પણ તમે કાનને કેળવ્યા હોય તો ઝીણામાં ઝીણો અવાજ પણ સાંભળી શકો.’

    વાત એટલી જ છે, આપણે ગમે તેવા શોરબકોરમાં પણ આપણા કાન સરવા રાખીને સાંભળવા તૈયાર છીએ કે નહીં.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.

  • મોક્ષારોહી

    વસુધા ઈનામદાર

    અમર કૈલાસનગર આવ્યો. એણે આસપાસ જોયું. એકવીસ નંબરના ઘર આગળ એક લીમડાનું ઝાડ હતું અને ત્યાં એક ભંગાર લાગતી પીળા કલરની એમ્બેસેડર કાર પડી હતી. અમર થોડોક જ આગળ વધ્યો. એને આસપાસ જોતાં લાગ્યું કે આ નાનકડો બંગલો જાણે કે આથમતા વૈભવની ચાડી ખાય છે . અંદર જવા માટે આરસનાં ચારેક પગથિયાં ચઢચા પછી સરસ મજાનો પોર્ચ હતો, ત્યાં ઝગમગતી સાંકળ સાથે જકડાયેલો, ખખડધજ થયેલો પણ સુંદર કોતરણીવાળો સાગનો હીંચકો હતો. સોનેરી બટનવાળી ડૉરબેલ એણે ક્યાંય સુધી દબાવી રાખી !

    અંદરથી થાકેલો પણ મીઠો મધુરો અવાજ આવ્યો, “ભાઈ, જરા ખમો, આવું છું.”  એંશીની આસપાસની ઉંમરવાળાં રૂપાળાં લાગતાં વૃદ્ધાએ બોખે મોઢે હસીને બારણું ઉઘાડયું ! એમના શરીર ફરતે ક્રીમ કલરની લાઇટ બ્રાઉન બૉર્ડરવાળી સિલ્કની સાડી હતી. કપાળમાં આંખે ઊડીને વળગે એવો મોટો ચાંદલો હતો. કાનને શોભાવે એવી હીરાની બુટ્ટી હતી. આ ઉંમરે પણ માજી ગરવાં લાગતાં હતાં. અમરને જોઈ આછું સ્મિત કરી અંદર આવવાનું ઇજન આપતાં હોય એમ, બારણેથી થોડાંક ખસીને બોલ્યાં, ‘સુખધામ’માંથી આવો છો ને ? આવો ભાઈ, તમારી જ રાહ જોતી હતી.”

    અમરે અંદર પ્રવેશ કરતાં કહ્યું, “હા, ત્યાંથી જ તમને લેવા મને શાહસાહેબે મોકલ્યો છે.” એણે જોયું ઘરની અંદરની ભવ્યતા અને વિશાળતા આંખે ઊડીને વળગે એવી હતી. તેઓ હસીને બોલ્યાં, “બેસોને ભાઈ !”
    અમરને થયું એક સમયે આ ઘર નિતનવા અવાજો અને હાસ્યથી ધમધમતું હશે ! એના મત્તમાં ચાલતા વિચારોનો છેડો જાણે પકડી પાડયો હોય તેમ, માલતીબહેને એની સામે જોયું, એ ચહેરો અપરોક્ષ રીતે અમરને કહેવા માગતો હતો, આ ઘરની નીરવતામાં મહાલતો ખાલીપો મારાં મનમાં ચાલતા ઘોંઘાટને વળગી પડે છે !

    એ સ્થળ, એ સમય અને સામે ઊભેલી પ્રતિભાશાળી વ્યક્તિથી અમર અંજાઈ ગયો. સામે અડધી ભીંતને કવર કરી દેતો મોટો ફોટો હતો. ઊભા રહેલા એ પર્વતારોહકોની પાછળ ફોટાના બેકગ્રાઉંડમાં હિમાલયનાં શિખરો હોય એમ એને લાગ્યું. એ ફોટાની ફ્રૅમ ઘણી જ કીમતી દેખાતી હતી, કોઈ મ્યુઝિયમમાં શોભે એવી ! ગૌરવભર્યા અતીતને દંશ્યમાન કરતી એ છબી એ નિહાળી રહ્યો.

    માલતીબહેતન નજીક આવીને બોલ્યાં, “તને ગમ્યો ? આ અમારો પર્વતારોહણનો ફોટો છે, મારા પતિ ઉત્તમ ફોટોગ્રાફર હતા. હું હજારો ફૂટની ઊંચાઈને આંબતી હોઉં ત્યારે, તેઓ ગળામાં કેમેરા સાથે અન્ય ઓજારો અને સાધનો લઈ મારી એ ક્ષણોને કેદ કરી રાખતા. એ પણ સારા પર્વતારોહક અને ઉત્તમ ગાઇડ હતા. જોકે તેઓ પોતાને ફોટોગ્રાફર તરીકે જ ઓળખાવતા. એમના ફોટોગ્રાફ્સ નૅશનલ જિયોગ્રાફિક જેવાં અને અન્ય આંતરરાષ્ટ્રીય માસિકોમાં આવતા ત્યારે તેઓ ખૂબ ગર્વ અનુભવતા !! પર્વતારોહણની તાલીમ આપતી સંસ્થા સાથે વર્ષો સુધી કામ કર્યા પછી અમે બંનેએ અમારું પોતાનું પર્વતારોહકો માટેનું તાલીમ કેદ્ર ખોલ્યું હતું. આ બધા મારા વિદ્યાર્થીઓ સાથે પાડેલો ફોટો છે.?’

    એ આશ્ચર્યથી એમની સામે જોઈ રહ્યો, તેઓ બોલ્યે જતાં હતાં : “હિમાલય વર્ષોથી ગ્કષિમુનિઓ અને સાધુસંતોની તપોભૂમિ માટેનું આકર્ષણનું કેદ્ર છે. એની સુંદરતા કુદરતે સર્જેલી વિવિધતાના થાળ જેવી છે. જે હિમાલયના પહાડી સૌંદર્યને દિવ્ય જ નહીં, પણ અલૌકિક અને અદ્ભુત બનાવે છે. કદાચ તેથી જ હજારો વર્ષો પછી પણ સમગ્ર માનવજાતને તે તીર્થધામ જેવું પવિત્ર લાગે છે અને એનું ચઢાણ સ્વર્ગ જેવી દિવ્યાનુભૂતિ કરાવે છે. આવા સ્થળે જવાનું કોને ના ગમે ? અનેક યુવાન અને યુવતીને અમે એમની મહેચ્છા પૂરી પાડવામાં મદદ કરી છે. હું તો એમને સાહસવીરો જ કહું છું. મારી દૃષ્ટિએ પર્વતારોહણ એ રમતોનો રાજા છે. ત્યાં સ્પર્ધા નથી હોતી, ત્યાં એકબીજાના કૌશલ્યને, એમની ક્ષમતા અને હિંમતને વધાવીને ગૌરવાન્વિત થવાનું હોય છે. ચઢાણ કરતી વખતે ગ્રુપમાં હોવા છતાંય એ સાહસ અને સંઘર્ષ વ્યક્તિગત હોય છે. અમારા વિદ્યાર્થીઓ પર્વતારોહણને સ્વેચ્છાએ સ્વીકારેલો પડકાર સમજી ચઢાણ કરતા ! એમણે આત્મવિશ્વાસથી હિમાલયનાં નાનાંમોટાં શિખરો સર કર્યા હતાં. એ સમયે અમારો શિખરો સર કરવાનો એ શોખ ઉન્માદ અને નશાના હદ સુધીનો હતો ! મારા આ પગે માઈલોના માઈલનાં ચઢાણ ચઢવામાં હંમેશાં મને સાથ આપ્યો હતો, અને હવે આ જ થાકેલા પગ વોકરની મદદથી ચાલવામાં પણ ખોડંગાય છે. માફ કરજો ભાઈ, ઘણા સમય પછી આ ફોટાગ્રાફ વિશે પૂછીને મને સાંભળવાવાળું કોઈ મળ્યું, તમને મારી વાતોથી કંટાળો…”

    “ના, તા… તમારી વાતોમાં મને રસ પડયો છે, તમે જ એમ. પી. જાડેજા ને ? મેં તમારું નામ ખૂબ સાંભળ્યું છે, પર્વતારોહણ વિશેનાં તમારાં પુસ્તકો વાંચ્યાં છે. તમને આ રીતે મળાશે એવું ક્યારેય કલ્ય્યું નહોતું. મારી દષ્ટિએ સાહસિકતાનો પર્યાય એટલે પર્વતારોહણ ! અમારાં મા-બાપની ઇચ્છા વિરુદ્ધ અમે ભાઈ-બહેન એવા સાહસમાં જોડાયાં હતાં. મારી બહેન મારી કરતાં ખૂબ કુશળ પર્વતારોહક હતી, પણ પાંચેક વર્ષ પહેલાં થયેલા હિમપ્રપાતનો બે દિવસ સામનો કર્યા પછી તે મૃત્યુના મુખમાંથી હિંમતભેર બહાર આવી પણ એ કારણે હવે એ વ્હીલચેરમાં છે, તેથી મારાં માતા-પિતાના અત્યંત આગ્રહને માન આપીને મેં મારા શોખને તિલાંજલી આપી છે. પણ તમારાં જેવાં પાસેથી આમ સાહસની વાતો સાંભળું છું, ત્યારે મારામાં સૂતેલો હિમાલય જાગી જાય છે, એક વાત કહું ? મીઠી નિદ્રામાં આવેલાં સોનેરી સપનાં સવાર પડતાં જ ભુલાઈ જાય છે, પણ જાગૃત અવસ્થામાં તૂટેલાં સપનાં ક્યારેક ત્રાસરૂપ હોય છે. ખરું ને !”

    માલતીબહેને કરુણાસભર દષ્ટિથી જોતાં કહ્યું, “તારે ફરી પર્વતારોહક બનવું હોય તોહું તને મદદ કરી શકું એમ છું.”

    અમરે એમની સામે જોયું ,પણ કશો જવાબ ના આપ્યો, માત્ર હળવું સ્મિત કર્યું !

    બીજી દીવાલ પર જુદી જુદી ફેમવાળાઅનેક નાનામોટા ફોટાઓ હતા. અમરની નજર એ તરફ ગઈ, એ જોઈ માલતીબહેને કહ્યું, “એ મારો દીકરો શૈલેશ, અમેરિકામાં છે. આ એની અમેરિકન પત્ની જેનેટ અને આ મારાં પૌત્રપૌત્રીઓ.”

    અમરથી પુછાઈ ગયું. “તમે એમની સાથે નથી રહેતાં ? આટલા મોટા ઘરમાં એકલાં ?’

    એ મ્લાન હસીને બોલ્યાં, “એકલાં શાનાં ? આ ચાર દીવાલોમાં મૌનભર્યું ઉપવન મહેકતું રહે છે. ને એમાં ક્યારેક અતીતનો કલબલાટ અને તેનો ગુંજારવ પણ સંભળાય છે ! વૃદ્ધાવસ્થામાં પોતાનું ધ્યાન રાખવા આપણે સમર્થ ના હોઈએ ત્યારે ‘સુખધામ’ જેવા સ્થળે…” તેઓ થોડી ક્ષણો છત સામે જોઈ રહ્યાં ને બોલ્યાં, “પાંખ આવતાં સંતાનો ઘરમાંથી ઊડી જાય તો એમની સાથે બાંધેલો માળો વિખેરાઈ નથી જતો, પણ ખાલી થઈ જાય છે. આગળ જતાં એ સંતાનો સાથેનો સંવાદ ક્યારેક ઔપચારિકતા બની જાય છે. જીવનનાં સુખ-દુખમાં સાથ દેનારો જીવનસાથી જ્યારે લાંબા સહવાસ પછી વિખૂટો પડે છે, ત્યારે એમ થાય છે કે વૃદ્ધાવસ્થાના શિખર સુધી જતાંમાં ઘણું બધું ગુમાવવું પડતું હોય છે.”

    અમર એમની વાતો ખૂબ ધ્યાનપૂર્વક સાંભળતો હતો. માલતીબહેન બોલે જતાં હતાં. “પશુ-પંખી વૃદ્ધાવસ્થામાં પણ પોતાનું જીવન પ્રાકૃતિક રીતે અંત સમય સુધી જીવે છે. પોતાનો ખોરાક જાતે જ શોધે છે. માણસ જ એક એવો છે કે જે અપેક્ષાની સાંકળમાંથી મુક્ત થવા ઇચ્છતો નથી કે થઈ શકતો નથી. ઉંમર વધતાં સમજદારીપૂર્વક બિનજરૂરી ભૌતિક વસ્તુઓનો મોહ ઓછો કરવાનું શીખવું પડે. વૃદ્ધાવસ્થા ક્યારેક આંખ, કાન, અને દૈહિક હલનચલનની મર્યાદાઓ લઈને આવે છે. કાળના પ્રવાહમાં દરેકે પોતપોતાની મર્યાદાનું આકાશ નિર્માણ કરી ત્યાં વિહરવાનું હોય છે. મને મારું નાનકડું આકાશ મળી ગયું છે. આ બંગલો મેં પર્વતારોહણની ટ્રેનિંગ સંસ્થાને ભેટ ધરી દીધો છે. મારી ઇચ્છા અને અપેક્ષાની સાંકળમાંથી મુક્ત થવાનો હું પ્રયાસ કરું છું. હા, પણ “સુખધામ’ જતાં પહેલાં એક ઇચ્છા પૂરી થાય તો મને ગમશે !”

    અમરે પૂછ્યું, “એ કઈ ?’”

    માલતીબહેનની આંખો ચમકી ઊઠી, પ્રસન્‍ન ચહેરે તે બોલ્યાં, “અરે ખાસ એવું કાંઈ «થી. ડૉક્ટર કહે છે કે, હું ટૂંક સમયની મહેમાન છું . મારું જીવન સંતૃપ્ત છે. આ સ્થળ અને આ ઘરનો સહજ ત્યાગ કર્યો છે, પણ એક નાનકડી અભિલાષા છે. શક્ય હોય તો મને શહેરમાંથી લઈ જઈશ ?”’

    અમરથી બોલાઈ ગયું, “પણ એ તો દૂરનો રસ્તો થયો, ને ટ્રાફિક… ?”

    “ભલે ને ટ્રાફિક હોય, મને શું ફરક પડવાનો છે. દૂર કે નજીક ! “સુખધામ’ એ જ છેલ્લો વિસામો !” અમર કશું બોલ્યો નહીં.

    “ભાઈ, વાત એમ છે ને, ઘડપણમાં ઘરથી દૂર જવાનું થાય ત્યારે, ત્યાંની યાદો અંતરમાં ઘર કરી જાય છે. આ ઘરમાં મારું મૌન ઘૂઘવતું રહેશે. ગહન અને ધૂંધળું, નિરાકાર છતાંય સર્વત્ર વ્યાપીને આ દીવાલોમાં તે વહેતું રહેશે, સ્વરહીન, અનંત પર્વતીય મૌન ! મારા દિલમાં ધરબાઈને ધબકતા રહેલા મારા અતીતને મારે થોડીક ક્ષણો માટે ફરી માણવો છે. ચાલ ભાઈ, નીકળીશુંને આપણે ?”

    અમરૈ એમની સૂટકેસ ગાડીમાં મૂકીને હાથ પકડીને એમને ગાડીમાં બેસાડ્યાં અને શહેર તરફ ગાડી હંકારી ને થોડા સમય પછી એણે પૂછ્યું, “તમે કહો ત્યાંથી જઈએ.”

    “જો ભાઈ, આ મોટા દરવાજેથી મને અંદરની ગલીમાં લઈ જા.” અંદર પેસતાં જ તેઓ બોલ્યાં, “જો, પેલું બે માળવાળું મકાન અમારું હતું, ત્યાં ઉપર પેલી બારી દેખાય છે ને, બસ ત્યાં બેસીને હું મારાં મા-બાપની આવવાની રાહ જોતી.”

    “ઓહ… મકાન તો હવે સાવ ખખડી ગયું છે, મારી જેમ જ સ્તો !? આગળ જતાં ગલીકૂચીમાંથી માંડ ટૅક્સી જઈ શકે એવા રસ્તેથી પડું પડું થતી એક જૂની ઇમારત આગળ તેઓ એકીટસે જોઈ રહ્યાં ને પછી
    બોલ્યાં, “હું રોજ અહીં મારા પિતા સાથે ટેનિસ રમવા આવતી. જો દૂર પેલો બંગલો દેખાય છે ને ત્યાં મારાં લગ્ન પછી થોડાં વર્ષ અમે રહ્યાં હતાં. અમારા એ બંગલાની પાછળ જ અમારું ટ્રેનિંગ સૅટર હતું, પેલી ટેકરી દેખાય છે ને ત્યાં ! અરે એ ટેકરી પર કેટલી ઊંચી બિલિંગ ?” એમનો ચહેરો ઉદાસ થઈ ગયો.

    અમરે જોયું, એમની આંખો ભરાઈ આવી હતી.

    અમરે ગાડી ઊભી રાખી, ત્યાંથી પસાર થતી વખતે માલતીબહેન, બધી ઇમારતોને હાથ હલાવી આવજો કહેતાં હતાં. થોડાક સમય માટે એમણે અતીતને ઉલેચીને વહેતો મૂક્યો ! ને પછી સ્મૃતિમુક્ત થયાં હોય એમ
    પ્રસન્‍ન વદને બોલ્યાં . “ચાલ ભાઈ, લઈ જા મને હવે સુખધામ !’ તેઓ અમરને સંભળાય એવા મૃદુ સાદે બોલ્યાં, “અંતકાળ ક્યારે અને કેવી રીતે આવશે, એનો તો શો ભરોસો ? આકાશમાં વિહરતાં પંખી દશ દિશામાં ઊડી જાય તેમ દેહવૃક્ષ પર મજા કરનારા પંચપ્રાણદેહનું વળગણ છોડી મુક્ત થશે, કોઈ પણ ક્ષણે શ્વાસનો હિસાબ તો પૂરો થઈ જશે ! આમેય મૃત્યુ તો અકળ છે ! ક્યારેક કોમળ અને ઋજુ સ્વરૂપે આવે, તો ક્યારેક જીવને આકુળવ્યાકુળ કરીને પ્રતીક્ષા કરાવે ! હવે કોઈ પણ જાતની અપેક્ષા વિના હું આ દેહમાંથી મુક્ત થવા ઇચ્છું છું . હવે માત્ર મોક્ષારોહણ ! જીવનને શ્રદ્ધાંજલી આપી, મોક્ષના શિખર પરથી અનંતમાં વિલીન થવાનું !”?

    અમર એમની વાતો સાંભળીને ક્ષણભર માટે ક્ષુબ્ધ થયો.

    અમરની ગાડી ‘સુખધામ’ આવી. ગાડીમાંથી ઊતરીને માલતીબહેને પર્સમાંથી રૂપિયાની થોડી નોટો કાઢીને અમરને આપવા માંડી, અમર એમને પગે લાગ્યો ને બોલ્યો, “આજે હું તમારી પાસેથી ઘણું પામ્યો છું. તમને મળીને, તમારી વાતો સાંભળીને હું ધન્ય થયો છું ! ને આમેય હું અહીં નોકરી કરું છું, મારાથી આ ન લેવાય.” એટલામાં તો એક બહેન આવીને એમને વ્હીલચેરમાં બેસાડી અંદર લઈ ગયાં, ‘સુખધામ’નો એ વિશાળ દરવાજો ધીરે ધીરે બંધ થયો. એને થયું એ બંધ દરવાજા પાછળ ગણ્યાગાંઠ્યા શ્વાસોની આવનજાવન !

    અમરે વિચાર્યુ, માલતીબહેને અત્યાર સુધી પર્વતનાં ઘણાં શિખરો સર કર્યા હશે પણ આ મૃત્યુ તરફ ગતિ કરતું, અંતિમ પણ સર્વોચ્ચ શિખર હશે ! સર્વસ્વનો ત્યાગ કરીને, સ્વમાંથી પણ મુક્ત થવા માટેનો એમનો એ
    પ્રયાસ કેટલો અદ્‍ભૂત છે ! અમરને થયું માલતીબહેન, હવે પર્વતારોહીને બદલે મોક્ષારોહી બનશે ! અમર મનોમન બોલ્યો, ‘એ મોક્ષગામિનીની અનંતમાં વિલીન થવાની યાત્રા સુભગ રેહો’,
    અમર ગાડીમાં બેઠી. મેઘધનુષી રંગો ઉછાળતો સૂર્ય ઢળવાની તૈયારીમાં હતો. એણે ગાડી ઘર તરફ પુરપાટ દોડાવી.


    વસુધા ઈનામદાર | સડબરી, બોસ્ટન, ૧-૩૮૧-૪૬૨-૮૧૭૩

    સૌજન્યઃ અખંડ આનંદ, જુલાઈ ૨૦૨૫

  • સાક્ષી

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    સરોવરની પેલે પાર પહાડ પરથી જાણે કોઈ નિરાકાર વ્યક્તિ એને બોલાવી રહી હતી. ધ્યાન કેન્દ્રિત કર્યું, પણ ખરેખર ત્યાં કોઈ જ નહોતું. ફક્ત પત્થર તોડવાનો, માટી ખસેડવાનાં યંત્રોનો અવાજ, ટ્રકમાંથી પાટિયા ઉતારવાનો ખખડાટ સંભળાતો હતો. પણ, એને એ બધાંથી અલગ, કોઈ પંખી સરોવરનાં પાણીને અડ્યું ના અડ્યું અને એની તરફ ઉડી આવ્યું હોય એવો એક અનોખો અવાજ સંભળાયો.

    બપોરનો સમય હતો. પત્ની નિરાંતે ઊંઘતી હતી. એણે સરોવર તરફ ચાલવા માંડ્યું. પાકા રસ્તા પરથી એ પગદંડી તરફ વળ્યો. હમણાં જ બંધ થયેલા વરસાદથી ભીનું થયેલું પંખી એની પાંખો પરનું પાણી ઉડાડતું પસાર થયું.

    માથે પોટલાં લાદીને તામિલનાડુ અને આંધ્ર તરફના મજૂરો એની સામેથી પસાર થયા, પણ એની નજર તો માત્ર સરોવર, સરોવરમાં ઝીલાયેલા પહાડોના પ્રતિબિંબ, વાદળોને સ્પર્શતા પહાડો અને નીચે ખીણનાં ગાઢ જંગલ તરફ હતી. કદાચ જંગલોમાં ચંપાનાં ફૂલ ખીલ્યાં હશે, વિચારમાત્રથી એ ખુશ થયો.

    બંધ બારણાંને ધકેલતી ઠંડી હવા રૂમમાં પ્રવેશી જાય એમ એનાં મનમાં જૂની યાદો ધસી આવી. ધૂંધળી વરસાદી સાંજ, વરસાદનું સંગીત સાંભળવા જાગતો એક બાળક યાદ આવ્યો.

    પગદંડીથી સરોવર જતાં એ પણ યાદ આવ્યું કે, એને અહીં આવ્યે ચારેક વર્ષ વીતી ગયાં હતાં.

    પહેલાં કંપનીના મેનેજર અને દેશી એંજિનિયરની સાથે એ આવ્યો હતો ત્યારે આ સરોવર નહોતું. પહાડોની વચ્ચે ફેલાયેલી તળેટી જ હતી. એ તળેટીમાં પેઢીઓથી લોકો ખેતી કરતા, પણ લાંબો સમય ખેતીકામ ન ચાલ્યું. નવા રસ્તા બનાવવાનાં, પહાડો તોડવાનાં, માટી ઉસેટવાનાં, કોંક્રીટ તોડવાનાં યંત્રો ખડકાયાં. જોતજોતામાં તળેટી પર એક બંધ બની ગયો હતો. નદીમાંથી નીકળેલા નાળાનું પાણી તળેટી સુધી પહોંચ્યું ને તળેટી કે ગામના બદલે સરોવર બન્યું..

    ભલા, પરોપકારી એવા શંકર, કૃષ્ણન નાયર પણ ચોવીસ કલાક મદિરાલયમાં પડ્યા પાથર્યા રહીને બરબાદ થઈ ગયા. જીવનભર નવી પેઢીને પ્રોત્સાહિત કરનારા પિલ્લઈ એમના કર્મચારીઓથી છેતરાયા. જેણે સૌ પ્રથમ રબરનાં ઝાડ વાવ્યાં એ મત્તાઈ, લાચારીના લીધે પથભ્રષ્ટ કુટ્ટિયમ્મા, ‘અંતિમ ક્રાંતિ’ આણવાનો સંકલ્પ કર્યો હતો એ લોકસેવક પરમેશ્વર નાયર જેવા કેટલાય લોકો ચાલ્યા ગયા. એક માત્ર જેની મા એનાથી ઓછી ઉંમરના યુવક સાથે ભાગી ગઈ હતી એ અયપ્પન કુટ્ટી અપમાન, અવહેલનાની આગમાં સળગતો ત્યાં રહ્યો.

    જૂનાં સ્મશાનોની જગ્યાએ નવાં કારખાનાં અને નવી વસાહત ઊભી થઈ. કણ્ણુર, કન્નડા, આંધ્ર, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ અને બિહારથી આવેલા કેટલાક આધેડ લોકો અને અયપ્પન કુટ્ટી જાણે અહીં ખેલાયેલા આ ખેલના સાક્ષી બનીને રહ્યા.

    એ અયપ્પન કુટ્ટીએ નાનાં નાનાં વૃતાંત લખીને પોતાના મનના ઊંડાણમાં સાચવી લીધા હતા. ક્યારેક જૂના દોસ્તો એને નવલકથા લખવાનો આગ્રહ કરતા, એ યાદ આવ્યું.

    કુટ્ટી ફક્ત સ્મિત ફરકાવતો, પણ એ સ્મિત ફક્ત બાહ્ય હતું અંતરમાં તો આગ સળગતી હતી એ દોસ્તો જાણતા હતા. કદાચેય એ લખવા વિચારતો ત્યારે કોઈ ધારદાર અણી જેવી યાદ એના મનને કોચી દેતી.

    એ યાદ વર્તમાનને વીંધીંને ભૂતકાળ સુધી લઈ ગઈ ત્યારે એને ભર તડકામાં પત્થર તોડી રહેલી એક લાચાર મા દેખાઈ. બાજુમાં સાવ જર્જરિત છત્રીની નીચે બેઠેલું બાળક ઠોબરા જેવી થાળીમાંથી એક એક દાણો લઈને ભાત ખાઈ રહ્યું છે એ દેખાયું. ફાટેલાં અને કાદવથી ખરડાયેલાં કપડાં, જાણે કેટલાય દિવસથી નાહ્યો ના હોય એવા દેદાર, તેલ વગરના ઝાંખરાં જેવા લાગતા વાળ, આવી કારમી વાસ્તવિકતાની સામે એ નિઃસ્તબ્ધ બનીને ઊભો હતો. એને યાદ આવતું હતું એક ખોલકી જેવું ઘર. ચાંદની રાતોમાં ગોબરથી લીપેલાં આંગણાંમાં માટીના કોડિયાં સામે બેસાડીને ભાત પીરસતી મા. હવે તો નથી એ ઘર, ગોબરથી લીપેલું આંગણું કે નથી પ્રેમથી પીરસવાવાળું કોઈ. મા જીવે છે, પણ ઘણી દૂર છે.

    મનમાં પીડાની એક કસક ઊઠી.

    વિચાર આવ્યો કે, આ સોનેરી, મનોહર પહાડી પરનાં આ વિશાળ જંગલોની તળેટીમાં જ હંમેશ માટે વસી જાય, પણ શક્ય નહોતું. એ પાછો ફર્યો.

    ઘેર પાછાં ફરતા એને વિચાર આવ્યો કે, થોડા સમય પછી કારખાનામાંથી ઊઠતા ધુમાડાથી આ સોનેરી દેખાતી પહાડીઓ પર ફૂલ સુકાઈ જશે. પંખીઓ નહીં હોય. પતંગ નહીં હોય. આ જંગલ યાદ બનીને રહી જશે.

    ઘેર પહોંચ્યો ત્યારે પત્ની સાજ-શૃંગાર કરતી હતી.

    “ઝડપથી તૈયાર થઈ જાવ, આજે મીસીસ મુખર્જીની પાર્ટી છે.”

    જવાની જરાય ઈચ્છા નહોતી, પણ જવું પડ્યું.

    પાર્ટીના માહોલમાં સિગરેટ અને વ્હિસ્કીની તીવ્ર ગંધની સાથે હેરસ્પ્રે-પરફ્યૂમની સુગંધ ભળી હતી. હળવા સંગીતની સાથે ખોટાં હાસ્યના ઠહાકા, અર્થહીન વાતો હતી.

    એ કવિ હતો એ સૌને ખબર હતી, પણ શું લખતો હતો એની કોઈને જાણ નહોતી. જોકે પત્નીનેય ક્યાં જાણ હતી. એને લાગ્યું કે ‘એનું અહીં હોવું જ નિરર્થક છે. એ આ મહોલનો માણસ જ નથી.’ એ અકળાઈ ગયો.

    દૂર જઈને ધ્યાનમગ્ન યોગીની જેમ બારી પાસે જઈને બેઠો.

    મધરાતની નીરવતામાં દૂર ઊભેલા જહાજની લાઇટો દેખાતી હતી. ઠંડા પવનનાં કંપનથી આંદોલિત કમળની પાંદડીઓની જેમ હાલકડોલક થતું લાઇટની હારમાળાનું પ્રતિબિંબ દેખાતું હતું.

    રાત પૂરી થઈ ને ક્યાં સવાર પડી એનો ખ્યાલ ન રહ્યો.

    હવે એને માત્ર દૂર સુધી સ્વચ્છ પાણીથી ભરેલો પ્રવાહ દેખાતો હતો. નીચેથી ઉપર સુધી, ફૂલોથી છવાયેલી પહાડી, વાંસનું વન, સ્નાન કરીને મંદિર તરફ જતી સવારનાં ખીલેલાં તાજાં ફૂલ જેવી છોકરી દેખાતી હતી.

    દૂરનાં એ દૃશ્યને સાક્ષીભાવે જોઈ રહ્યો. મન ઉદાસ બની ગયું કારણ કે, જે જોઈ રહ્યો હતો એ કશું જ એનું નહોતું. એણે તો એ જ માહોલમાં જીવવાનું હતું જે માહોલ એનો હતો જ નહીં.


    ટી. પદ્મનાભન લિખીત (મલયાલમ)  વાર્તા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.