-
મહેન્દ્ર શાહનાં ડિસેમ્બર ૨૦૨૫નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s art creations for December 2025
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
સદા અમર શ્રી અવિનાશ વ્યાસ – લોકહૃદયે બિરાજમાન ગીતો
આલેખનઃ રાજુલ કૌશિક
અવિનાશ વ્યાસની રચનાઓમાં એમનો પોતાનો સૂર, પોતાની આગવી કલ્પના, આગવી શૈલી ઝીલાયેલી હોવા છતાં એ ક્યારેક લોકગીતની કક્ષાએ મૂકી શકાય એવા મઝાનાં બન્યાં છે કારણ કે એમાં લોકગીતની ઝલક ભારોભાર અનુભવાય છે.
સુરેશ દલાલ કહેતા કે, “ગીતનું ગંગોત્રીસ્થાન લોકગીત છે. લોકગીતમાં કાવ્યસૌષ્ઠવ ઓછું હોય પણ એના ભાવ સાવ સ્વાભાવિક અને માર્મિક હોય છે.”
અવિનાશ વ્યાસના ગીતોમાં સુરેશ દલાલે કહ્યું એમ ગંગોત્રીસ્થાને બિરાજેલા લોકગીતો જેવી અનુભૂતિ છલકાય છે.
લોકગીત એટલે છલોછલ છલકતાં ગ્રામ્યજીવનનું દર્શન. ગામની કલ્પના કરીએ અને આપણા મનમાં જે દૃશ્ય દેખાય એમાં ઊગતા સૂરજની સાખે થતાં મંદિરના ઘંટારવ સંભળાય, રાશે જોડેલા બળદોને હંકારી જાતા ખેડૂતો દેખાય, માથે ઈંઢોણી અને એની પર ગોઠવાયેલાં બેડાં લઈને હલકભેર હાલી જતી ગામની દીકરી કે નાક સુધી લાજ ખેંચીને નીચી નજરે જતી વહુવારુઓ દેખાય. સાંજ પડે ગામની પાદરે ઘેઘૂર વડલાની છાંયા હેઠળ ભેગા થયેલા વડીલો દેખાય, સમી સાંજે ગોધૂલી સમયે ચરીને આવતી ગાયોના લીધે આછી આછી ઊડતી રજ નાક સુધી પહોંચતી અનુભવાય. આ વાત કરવાનો હેતુ એ જ કે, હવે આપણે અવિનાશ વ્યાસ રચિત જે ગીતની વાત કરવાના છીએ એ ગીત પણ ક્યાંક અજાણતા લોકગીતની શ્રેણીમાં મુકાયેલું જોયું છે.
“છલકાતું આવે બેડલુ” યાદ આવે છે?
છલકાતું આવે બેડલું, મલકાતી આવે નાર રે મારી સાહેલીનું બેડલું
https://drive.google.com/open?id=11RFm8cQI-yLzNH_iFpX4kgqaf64HRe84
વાત એમાં સાવ સાદી છે. ગામની એક નારીને, કદાચ ગામની દીકરી પણ હોઈ શકે, એને ગરબો કોરાવો છે, એ ગરબાને મુકવા માંડવડી તો જોઈશે ને? એ માંડવડી ઘડવા સુતારી, એને મઢવા લુહારી, રંગવા રંગારી જોઈશે. માંડવડી તૈયાર થઈ ગઈ. હવે જેના માટે આ બધી તૈયારી કરી છે એવો ગરબો તો સૌથી મહત્વનો. વળી કોરેલા ગરબા માંહી મુકવા કોડિયું જોઈશે તો એના માટે કુંભાર, પ્રગટાવવાની દિવેટો માટે પિંજારી, એમાં દિવેલ પૂરવા ઘાંચી અને અંતે એને શણગારવા મોતીઆરો આવશે અને પછી જ એ હિલોળે ચઢશે અને એમ કંઈ એકલા એકલા રંગત ના જામે એટલે એ ગામની બેની, દીકરિયું, વહુવારુ અને ભાભીનો પણ સાથ જોડશે.
અહીં અવિનાશ વ્યાસની આ રચનામાં ગામમાં એક નાનકડા ઉત્સવને લઈને જે ઉત્સાહ ઉમટે છે એનો પડઘો સંભળાય છે. અહીં સાહેલીનું બેડલું જ નથી છલકાતું, એમાં છલકાય છે એ નારીનો ઉમંગ, એની ઊર્મિઓ. કેવા હેતે, કેવા ભાવે એ દીકરી સૌને પોતાના રાજીપામાં જોડાવાનું ઈજન આપે છે? ગામ આખું જાણે એક થઈને હિલોળે ચઢશે.
એક તરફ છે આવા ઉમંગની છોળો તો બીજીય એક બાજુ છે જે આપણું ભીતર ભીંજવી દે એવી વ્યથાઓ કારણકે કદાચ ગામની દીકરી જેટલી દરેક વહુઓ નસીબની ઉજળી નથી હોતી. ગામની દીકરીઓ સાથે તો એના ઉમંગો, તરંગો સાથે તાલ મિલાવે એવા સૌ છે, પણ આવા ગામમાં ક્યાંક કોઈ એવી માવતરને છોડીને આવેલી વહુવારુ પણ છે જેનો સાસરામાં સ્નેહથી સમાવેશ નથી, ઉમળકાભેર આવકાર નથી, જ્યાં એના હૃદયની વાત સાંભળનાર, એની વ્યથા સમજનાર કોઈ નથી ત્યારે એના માટે વાતનો વિસામો જ કૂવો છે.
ક્યારેક પેલા વડીલ જેવા ઘેઘૂર વડલાના સ્થાને જેનું તળ ઊંડું છે એવો કૂવોય આ વહુઓની વ્યથાને અને ક્યારેક એ વહુને પોતનામાં સમાવીને ય નિતાંત સ્થિર બની જાય છે.
“કૂવાના કાંઠડે હું એકલી, કૂવો જાણે વહુવારુની વાત રે…
વહુનો ઓજી રે વહુનો વિસામો છે કૂવાનો ઘાટ”હજુય આગળ નોંધારી સ્ત્રીની વેદના ઠાલવતા ગીતકાર લખે છે કે …
“ઉરમાં અરમાન પૂર્યા આંસુની સાંકળે, ઉર બોલ્યું ને મારું દુઃખ કૂવો સાંભળે..
ભર્યા રે સાસરીએ મારી નોંધારી જાત, સાસુ સતાવે ને ધણી ના બોલે તો
વહુ જઈને કૂવાની કાયા ઢંઢોળે.”https://drive.google.com/open?id=10Blv4sMvr1uQTQ-0qDhXlzEGLux3QrWc
થોડામાં ઘણું કહી જતા આ ગીતના શબ્દે શબ્દે વ્યથા ટપકે છે. ૬૬મા રાષ્ટ્રીય ફિલ્મ અવૉર્ડની શ્રેણીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો અવૉર્ડ જીતનાર સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ યાદ છે ને?
અહીં પણ પિતૃ-પતિ-પુરુષપ્રધાન સંસ્કારો વચ્ચે પીસાતી સ્ત્રીઓની વાત છે. દરરોજ સવારે દૂરના સ્થળે પાણી લેવા જાય ત્યારે એમને આ બંધિયાર હવામાંથી થોડો સમય છૂટકારો મળે, ત્યાં તેમને જાણે ખુલ્લી હવામાં શ્વસવાનો, મુક્તપણે કંઈક કહેવાનો, એમની લાગણીઓને વહેવાનો, થોડીક ક્ષણો જીવી લેવાનો સમય મળે જે એને અવસર જેવો લાગે જ્યારે અહીં આ ગીતમાં વહુઓને કૂવો એમની વ્યથા ઠાલવવા મા કે બાપના ખોળા જેવો લાગે છે.
અવિનાશ વ્યાસની આ રચના અંગે એક જરા અજાણી રહી ગયેલી વાત રજૂ કરવી છે. આ ગરબો ‘અર્ચન અકાદમી’ દ્વારા સ્ટેજ પર ગવાયો હતો ત્યારે આ પરફોર્મન્સમાં એક નવિનતાની દૃષ્ટિ ઊમેરાઈ હતી. એમાં ન તો તાળીનો અવાજ હતો કે ન તો ચપટીનો અવાજ… જાણે તાળી -ચપટીને મ્યુટ પર મૂકી દીધા હતા. કલાકારોએ આ વ્યથાના પ્રતીકરૂપે કાળા કપડાં પસંદ કર્યા હતાં. સૌ કોઈએ એ સમયની વહુવારુઓની સામાજિક સ્થિતિ દર્શાવતો માથેથી ગળા સુધી ઘૂમટો તાણ્યો હતો. સ્ટેજ પર આછા પ્રકાશ પર આછા લાલ અને ભૂરા રંગના ફિલ્ટરનો ઉપયોગ કર્યો હતો. ગીતના અંતે કલાકારોએ જ વર્તુળમાં ગોઠવાઈને જાણે કૂવો, એના થાળાનો અને એમાં એક કલાકાર પડતું મૂકશે એવો આભાસ સર્જી ગરબાનો અંત આણ્યો હતો.
અવિનાશ વ્યાસે શબ્દોમાં રજૂ કરેલી નારીના મનની વેદના, વ્યથાને આવી હૃદયસ્પર્શી રીતે, હૃદયને ઝંઝોડી મૂકે એવી રીતે કૉરિયૉગ્રાફ થયેલી જોઈને આખું સભાગૃહ સ્તબ્ધ અને સ્થિર બની ગયું હતું…
આજે પણ આ ગરબો સાંભળવામાં આવે એટલી વાર એ પરફોર્મન્સ નજર સમક્ષ દેખાય છે.
આવી તો અવિનાશ વ્યાસની કેટલીય સાવ અનોખી રચનાઓ અને અનોખી વાતો છે જેના વિશે આપણે વાત કરવા મળતા રહીશું.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈ જોતું હોય કે ન જોતું હોય, તમારામાંના નેતૃત્વને રોક્યું નથી રોકી શકાતું
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
સંચાલન કક્ષાએ પહોંચેલાં ઘણાં લોકોનાં પદમાં અગ્રણી હોવાનું લેબલ તો હોય છે.
પરંતુ, ખરા અર્થમાં નેતૃત્વ બહુ ઓછાં લોકો પૂરૂં પાડતાં હોય છે.પોતાના પદ અનુસારનું કામ કરવું તો સહેલું છે.
નક્કી કરેલાં કામ કરવાં.
નિશ્ચિત કરેલ ધ્યેય સિદ્ધ કરવાં.
મિટિંગોમાં ભાગ લેવો.
અને, પગાર મેળવવો.નેતૃત્વ પૂરૂં પાડવું એ અલગ જ બાબત છે.
તંત્ર વ્યવસ્થાની તિરાડ ખાઈ બને તે પહેલાં ધ્યાન પર લેવી.
ચૂપ રહેવું શ્રેયકારક હોય ત્યારે અપ્રિય લાગે તેવી વાત કહી શકવી.
દોષારોપણનો ટોપલો પોતાની ટીમના સાથીદારને માથે ન જવા દઈને પોતે પહેરી લેવો.
ટૂંકે ગાળે મોંઘા પડતાં લાગતા નિર્ણયો લઈને લાંબા ગાળાના ફાયદા કરી શકવા.આ બધાં માટે વધારે વેતન કે વધારે નોંધ ન પણ લેવાય.
પદની જવાબદારીઓ સોંપાય ત્યારે આવું બધું કહેવાયું ન હોય.
ઘણી વાર તો આભારના બે બોલ પણ કોઈ ન કહે.
તમે પણ આ બધું એટલે કરો છો કે તેમ કર્યા વિના તમને ચાલે તેમ નથી.પોતાનાં કામ માટે પગાર મળે છે.
તમારામાંના નેતૃત્વને રોક્યું નથી રોકી શકાતું, કોઈ જોતું હોય કે ન જોતું હોય.
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
ટેક્ષી ડ્રાઈવર પાસેથી શીખવા મળેલ જીવનપર્યંતનો બોધપાઠ
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
મારા વ્યવસાયને લગતી એક બહારગામની મુલાકાતથી હું પાછો ફરી રહ્યો હતો. મેં જે ટેક્ષી તે નક્કી કરી ટેક્ષીના ડ્રાઈવરની આંખોમાં ચમક હતી. કસાયેલો બાંધો ધરાવતો એ યુવાન ઉત્સાહથી છલકાતો હતો. તેનાં સ્વાગતમાં ખુશખુશાલી અને વર્તણૂકમાં સહજ વ્યાવસાયિકતા હતી. જેમ જેમ ટેક્ષી ચાલવા લાગી તેમ તેમ તેણે મારી સાથે અર્થતંત્ર, નોકરીઓની પરિસ્થિતિથી લઈને પોતાને ટેક્ષી ચલાવવાનું કેમ ગમે છે તે વિશે વાતચીત શરૂ કરી. તે એક અનોખો દ્રષ્ટિકોણ ધરાવતો હોય તેવું લાગતું હતું. તેનો ઉત્સાહ લગભગ ચેપી હતો અને હું પણ, અવશપણે, તેની સાથે વાતચીતમાં ખેંચાઈ ગયો !
નોકરીઓથી લઈને વેચાણ સુધીના વિષયો પરની વાતચીતમાં એક તબક્કે, તેણે પોતાનો સેલ ફોન કાઢ્યો અને એક વિડિઓ રેકોર્ડિંગ બતાવવાનું શરૂ કર્યું. મને તે પ્રેરણાત્મક વિડિઓ જેવું લાગ્યું. તેણે મને ફોન આપ્યો જેથી હું તે વ્યક્તવ્ય જોઈ/સાંભળી શકું. તેણે પછીથી ખુલાસો કર્યો કે તેણે એક અગ્રણી પ્રેરક/વેચાણ વક્તાના આ દિવસભરના સેમિનારમાં હાજરી આપવા માટે તેની માસિક આવકનો લગભગ ૩૦% ખર્ચ કર્યો હતો. તેણે મને પણ યુ ટ્યુબ પર ક્યાંકથી એ વક્તાના વિડિઓ શોધી ને જોવા માટે વિનંતીપૂર્વક સૂચન કર્યું.
આ વ્યક્તિ તરીકે ખરેખર અદ્ભૂત હતો કેમકે તેણે પોતાની ભૂતકાળની કે વર્તમાન સામાજિક પરિસ્થિતિ, પોતાની નોકરી કે શૈક્ષણિક લાયકાતના અભાવને મર્યાદા તરીકે જોયાં જ ન હતાં. આમ, તેણે મને શીખવ્યું કે નવું નવું શીખતા રહેવાની કોઈ સીમા નથી. નવી વસ્તુઓ શીખવા માટે એકમાત્ર પૂર્વશરત એ છે કે ખુલ્લું, તૈયાર, ગ્રહણશીલ અને જિજ્ઞાસુ મન હોવું જોઈએ. નવું શીખવાને જ્યારે તમે કોઈ ડિગ્રી માટે કે બીજાંઓની નજરોમાં સ્વીકૃતિ તરીકે બાહ્ય પ્રમાણપત્ર માટે નથી જોતા, ત્યારે નવું શીખવાની કક્ષા શ્રેષ્ઠ સ્તરે પહોંચે છે.
ટોમ પીટર્સ તો કહે જ છે કે જો તમે બિઝનેસ ટ્રાવેલર છો, તો તમે કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ પાસેથી નહીં પણ કેબ ડ્રાઇવરો પાસેથી સૌથી વધુ શીખો છો. તમને જીવન વિશેનો એક વાસ્તવિક દ્રષ્ટિકોણ જાણવા મળશે. મેં આ કથનનાં હાર્દનો અનુભવ તે દિવસે જાતે કર્યો.
હવે પછી જ્યારે મને કેબની જરૂર પડશે, ત્યારે મને ખબર છે કે મારે કોને ફોન કરવો!
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
૨૦૨૬નાં વર્ષ માટે હાર્દિક શુભેચ્છાઓ

-
ચાલો, પર્યાવરણની સાથોસાથ જાતનો પણ વિનાશ નોંતરીએ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
માનવજાતના અસ્તિત્વ સાથે ભૂખ અનિવાર્યપણે સંકળાયેલી છે. માનવસંસ્કૃતિના વિકાસની સાથોસાથ જરૂરિયાતનું જે વ્યાપારીકરણ થવા લાગ્યું એમાં ભૂખનું, એટલે કે તેને સંતોષવાનું પણ એક બજાર ઊભું થયું. ભૂખને સંતોષતો ખોરાક, ખોરાક સાથે સંકળાયેલો સ્વાદ અને એ રીતે સ્વાદિષ્ટ ખોરાક ખાવાથી મળતો સંતોષ તેમજ આનંદ પ્રાપ્ત થાય એટલે ભોજનનો પહેલો તબક્કો પૂરો થયો ગણાય. પછીના ક્રમે તેના પાચન અને તેની સાથે સંકળાયેલાં પોષણમૂલ્યો આવે. અલબત્ત, છેલ્લા કેટલાક દાયકાઓમાં ભૂખને સંતોષતું જે બજાર ફાલ્યું એમાં સૌથી પહેલો ભોગ પોષણમૂલ્યોનો લેવાતો. સ્વાદનો ભોગ એ રીતે લેવાયો કે એનો અંદાજ સુદ્ધાં ન આવે. કેટલીય મોટી મોટી ખાદ્ય કંપનીઓ સ્વાદ, ભૂખ અને આનંદ જેવી આપણી સાહજિક વૃત્તિઓનો ગેરલાભ લઈને એ પ્રકારનો અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાક બજારમાં મૂકતી રહી છે કે એને ખાવા માટે માણસ રીતસરનો બેકાબૂ થઈ જાય. મગજ પર તેની એવી અસર થાય કે વારેવારે એને ખાવાની ઈચ્છા થતી રહે. નશીલાં દ્રવ્યોની જેમ આવા ખોરાકની પણ લત પડી જાય, જે આખરે સ્થૂળતા, ડાયાબિટીસ અને બીજી અનેક લાંબા ગાળાની બિમારીઓમાં પરિણમે.
નશીલાં દ્રવ્યો કાનૂની રીતે નિયંત્રીત છે, તેની પર ચેતવણીઓ લખેલી હોય છે કે તેનાથી થતા નુકસાનની જાણકારી જાહેરખબરો દ્વારા અપાતી રહે છે. તેની સરખામણીએ આવા ખાદ્ય પદાર્થો આપણી આસપાસ મળી રહે છે, આપણે તેને હોંશે હોંશે ઝાપટીએ છીએ, અને કેટલાક કિસ્સામાં પોતાને એના વિના ન ચાલતું હોવાનું ગૌરવ પણ લેતા રહીએ છીએ. પાનના ગલ્લાથી લઈને મોટી દુકાન પર હારબંધ લટકતાં ચીપ્સ અને કૂકીઝનાં રંગબેરંગી, આકર્ષક પડીકાંની સુલભતાથી કોણ અજાણ હશે! ‘પ્રિંગલ્સ’ જેવી જાણીતી બ્રાન્ડની બટાટાની વેફરનું સૂત્ર છે: ‘વન્સ યુ પોપ, યુ કાન્ટ સ્ટોપ.’ એટલે કે એક વાર તમે ઢાંકણું ખોલશો તો પછી ખા ખા કર્યા વિના રહી નહીં શકો. વક્રતા અને ચેતવા જેવી બાબત એ છે કે આમ કરવાની ઈચ્છાના મૂળમાં ભૂખ નથી હોતી.
આ બાબતે હવે ઘણા અભ્યાસ અને સંશોધન થઈ રહ્યાં છે. એમાંનાં મોટા ભાગના અભ્યાસના તારણમાં જોવા મળ્યું છે કે માનવમગજ જે રીતે નિકોટીન યા અન્ય નશીલાં દ્રવ્યોને ઝંખે એ જ રીતે આવા અલ્ટ્રા પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોને ઝંખતું રહે છે. છત્રીસેક દેશોમાં હાથ ધરાયેલાં ત્રણસો જેટલા અભ્યાસમાં આ બાબત જાણવા મળી છે.
આમ થવાનું કારણ શું? એ હકીકત છે કે આ રીતનો તૈયાર નાસ્તો કે ભોજન મોટે ભાગે ખાંડ, મીઠું, રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ તેમજ સેચ્યુરેટેડ ફેટ્સથી ભરપૂર હોય છે. તેના ઊપયોગની અવધિ વધારવા તેમજ સ્વાદમાં વૃદ્ધિ કરવા માટે તેને જટિલ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. આને કારણે તે પોષક તત્ત્વો બાબતે કંગાળ અને કૃત્રિમ રસાયણોના મામલે સમૃદ્ધ બની જાય છે. કેલરીથી ભરપૂર, પણ પોષણમાં કમજોર રહેલા આ ખોરાકની સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થતી હોવાના પૂરતા પુરાવા અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે.
સમોસા જેવા, રોજબરોજના અને સૌથી સામાન્ય નાસ્તાનું ઉદાહરણ લઈએ. આ તળેલી વાનગી મેંદામાંથી બને છે, જેમાં બટાટા, વટાણા, મીઠું તેમજ અન્ય મસાલા ભરેલા હોય છે. કોઈ પણ સ્થાનિક દુકાને મળતાં સમોસાંને ‘પ્રોસેસ્ડ ફૂડ’ની શ્રેણીમાં મૂકી શકાય. એનો મતલબ કે તેનું પ્રાકૃતિક રૂપ બદલી નાખવામાં આવ્યું છે. આવા ખોરાકમાં પણ મીઠું, ખાંડ અને ટ્રાન્સ ફેટના વધુ પ્રમાણને લઈને મધુપ્રમેહ જેવી બિમારીનું જોખમ રહેતું હોય છે. આ જ સમોસાંનું ઉત્પાદન વિશાળ પાયે કરવામાં આવે ત્યારે તેમાં પ્રિઝર્વેટિવ, ફ્લેવર એન્હેન્સર, સ્ટેબીલાઈઝર તેમજ એન્ટિ કેકિંગ એજન્ટ ઉમેરવામાં આવે છે, જેથી તે મહિનાભર સુધી બગડ્યા વિના સુપરમાર્કેટમાં રહી શકે. આ પ્રક્રિયાથી તે ‘પ્રોસેસ્ડ ફૂડ’માંથી ‘અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ’ની શ્રેણીમાં આવી જાય છે.
કરિયાણાની દુકાનો, સુપર માર્કેટ, પાનના ગલ્લા વગેરે તો ખરા જ, શાળાની કેન્ટિનમાં પણ આ પડીકાંઓએ પગપેસારો કરી દીધો છે. કેટલાંય માવતરો પોતાનાં બાળકોને આનંદભેર અને ગૌરવભેર આવાં પડીકાં લાવી આપે છે. વઘારેલા મમરા, સેવ, ચેવડો જેવા એક સમયે ઘરઘરાઉ ગણાતા નાસ્તા હવે આ શ્રેણીમાં આવી ગયા છે. એ સસ્તા છે, જરૂરિયાત મુજબના નાનામોટા પેકિંગમાં મળે છે, અને આક્રમક રીતે તેનું માર્કેટિંગ કરવામાં આવે છે. મુશ્કેલી એક જ છે. નશીલાં દ્રવ્યોની જેમ તેની પર ક્યાંય ચેતવણી મૂકાયેલી હોતી નથી.
વર્તમાન યુગમાં જેમ રાજકારણ નાગરિકોના ઘરમાં, દરવાજો ખટખટાવ્યા વિના પ્રવેશી ગયું છે અને અડિંગો જમાવી દીધો છે, એવું જ આ ખોરાકી ઝેર બાબતે કહી શકાય. એક મનને દૂષિત કરે છે, અને બીજું તનને. આબાલવૃદ્ધ સહુ કોઈ આ ખોરાકી ઝેર આનંદપૂર્વક લઈ રહ્યા છે. તેમાં રહેલા અતિશય મસાલા સ્વાદેન્દ્રીયને ખતમ કરી નાખે છે.
સિગારેટ, બીડી કે અન્ય નશીલાં દ્રવ્યો જેવી દેખીતી ખરાબ અસર ન હોવાથી આ બાબતે વ્યક્તિગત સ્તરે જાગૃતિ ઓછી છે, યા છે તો એની ગંભીરતા જોઈએ એવી નથી. હજી આપણા દેશમાં તેનો ઊપયોગ વરસોવરસ વધી રહ્યો છે અને નવા નવા વર્ગોમાં તે પ્રસરી રહ્યો છે. કાનૂની નિયંત્રણ ક્યારે લદાશે એ ખબર નથી, અને લદાશે તો પણ એ કેટલાં અસરકારક હશે એ કલ્પનાનો વિષય છે. સવાલ કાનૂની નિયંત્રણ કરતાંય વધુ સ્વજાગૃતિનો છે. હવા, પાણી, પર્યાવરણ બધાનો ખો વળવાની પ્રક્રિયા ચરમ સીમાએ હોય તો આ સ્પર્ધામાં ખોરાક શા માટે પાછળ રહે?
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૫ – ૧૨– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
ગયાના – નદીઓ અને જંગલોનો દેશ : ૯
પ્રીતિ શાહ-સેનગુપ્તા
એ દિવસને માટે ગોઠવેલું એ તબીબી-ક્લિનિક સાંજ સુધી ચાલુ જ રહ્યું. એક સમયે મંદિરના એ હૉલમાં જતો ગેટ બંધ કરવામાં આવેલો. ક્લિનિક બંધ થયું છે, તે જણાવવા, પણ એ પછી પણ દરદીઓ આવતાં રહ્યાં. એ બધાંની તપાસ થતી ગઈ, ને દવા અપાતી ગઈ. અમે થાક્યાં હતાં, પણ આ સ્થાનિક જનોને મદદ કર્યાનો સંતોષ મનમાં જરૂર હતો.
એક સ્થાનિક દંપતી, એમની મોટી વૅનમાં, અમને આઠ જણને ચૅરિટી ગામે પહોંચાડી આવવવાનું હતું. પણ એમને પણ ઉત્સાહ હતો અમારે માટે સામે કૈંક કરવાનો. પહેલાં એમણે વૅન પાછલી ગલીઓમાં લીધી. ત્યાં રાહ જોતા એમના દસ વર્ષના પૌત્રને લેવાનો હતો.
સરસ, શાંત ગલીઓ હતી એ બધી. નાનાં, વ્યવસ્થિત ઘરોની પાછળ ખુલ્લાં ખેતર હતાં. આ દંપતીનું ઘર તો ઘણું મોટું હતું. આછા ગુલાબી રંગમાં તાજું જ રંગ્યું હતું. કમ્પાઉન્ડમાં ઘણાં ફૂલો હતાં, ખાસ કરીને જાસુદનાં. બધું જોઈને લાગે કે અહીં જિંદગી પણ શાંતિની હતી.
જરાક આગળ ગયાં ત્યાં એમના દીકરાએ જાંબુનો ઉલ્લેખ કર્યો. કહે કે અહીં બહુ ઝાડ છે, ને અસંખ્ય જાંબુ થયેલાં છે. અમને પણ બહુ ઇચ્છા થઈ ગઈ એ ઝાડ જોવાની, તાજાં જાંબુ ખાવાની! પાસેના એક મોટા ઘરના કમ્પાઉન્ડમાં એક મોટું જાંબુનું ઝાડ હતું. ત્યાં રહેતા એક ભાઈને પૂછ્યું, કે થોડાં જાંબુ લઈએ? તો એ તો બે મોટી ડાળીઓ તોડીને લઈ આવ્યા.
ડાળીઓ પર થોડાં લીલાં પાંદડાં હતાં, અને લાગેલાં હતાં અસંખ્ય પાકાં, જાડાં, જાંબલી જાંબુ. અહીં એમને જામૉન કહે છે. ધોયા પણ વગર અમે ખાવા માંડ્યાં. આહા, શું મીઠાં, શું રસાળ. કેટલાં વર્ષે ખાધાં તાજાં જાંબુ. જોકે અમારાંમાંનાં બેએક જણાંએ પારકા દેશનું ફ્રુટ ખાવાની ના પાડી- કદાચ છે ને માંદા પડાય.
આખરે અમે ચૅરિટી હોટેલ પર પહોંચ્યાં ત્યારે છ વાગી ગયેલા. આખો દિવસ ગરમ રહેલો, અને અમે થાક્યાં હતાં. અમે વહેલાં જમી લીધું. એ જ લાક્ષણિક ગયાનિઝ ખાવાનું – મેંદાની જાડી પૂરી, અને આલુ-છોલેની સબજી. ત્યાં સુધીમાં આકાશમાં ઘેરાં કાળાં વાદળ ચઢી આવેલાં, અને જોરદાર ઝાપટું થઈને વરસી પણ ગયેલાં.
એના જ રવમાં ઊંઘ આવી ગયેલી.
સૂતાં વહેલાં, તો ઊઠવાનું પણ વહેલાં જ હતું. પાંચ વાગ્યે ઊઠ્યાં, તૈયાર થઈને કલાકમાં નીકળી ગયાં, ભરપુર એવી ઍસૅકીબો નદી પર આવ્યાં, પેલા ખખડધજ લપસણા મંચ પરથી ઊતરીને મોટર-બોટમાં બેઠાં, લાઇફ જૅકૅટ બાંધ્યાં, અને નદીનાં સાગર-સમ મોજાં સાથે હાલતાં-ડોલતાં, અડધા-પોણા કલાકે પરિકાના ડક્કા પર જઈ પહોંચ્યાં.
ત્યાં બે વૅન અમારે માટે રાહ જોતી ઊભી હતી. લાગે કે બધી વ્યવસ્થા બહુ ધ્યાનપૂર્વક કરાયેલી, અને પૂરેપૂરી ચોકસાઈપૂર્વક સંભાળવામાં આવતી હતી. અમને હવે કૉર્નેલિયા ઇડા નામના ગામે લઈ જવાતાં હતાં. અડધા કલાક દૂર જ જવાનું થયું. ત્યાં આવેલી, સ્વામીજીએ સ્થાપેલી, સરસ્વતી વિદ્યા નિકેતન નામની સ્કૂલમાં આજે અમારું તબીબી-ક્લિનિક ગોઠવાયું હતું.
સ્વામીજી તો દરિયા-પાર ચાલી ગયેલા. સ્વામી-સન્યાસીઓનું આવું જ વર્તન હોય છે. આમ સંસાર છોડ્યો હોય, ને આમ દુનિયા આખી સાથે સંકળાયેલા હોય. અમે બધાં નિરાશ થયેલાં, કે ફરી મળ્યા પણ નહીં, અને નહીં હોય એવી જાણ પણ અમને કરી નહતી.
અહીં બધું જાણે ફૅન્સી હતું. સુંદર પ્રવેશદ્વાર. જતાંની સાથે સામે આવે સરસ્વતીની મૂર્તિ, અને શિવનું મંદિર. અંદર મોટા કમ્પાઉન્ડમાં એક ખૂણા પડતું, બે માળનું, સ્કૂલનું મોટું મકાન. સ્વામીજીનો પાવર કેટલો હતો, તે મને સમજાઈ ગયું હતું. વળી, એમની ઓળખાણો પણ બધે જ હતી – ગયાનાના શ્રીમંત વર્ગમાં તો ખાસ, તેનો ખ્યાલ પણ મને આવી ગયેલો.
નજીક તેમજ દૂરનાં ગામોમાંથી છોકરાં આ સ્કૂલમાં ભણવા આવે છે. જાતજાતના કોર્સ અહીં શીખવાડાય છે – હિન્દી ને અંગ્રેજી ભાષા, સાયન્સ, કૉમર્સ, બિઝનેસ, ફિલોસોફી, રમતગમત વગેરે. ઉપરાંત, સંગીત, નૃત્ય, ચિત્ર જેવી સાંસ્કૃતિક કળાઓ.
શનિવાર હતો એટલે સ્કૂલ અડધા દિવસની હતી. ઘણાં વિદ્યાર્થીઓ વર્ગોની બહાર હતાં. બધાં ગણવેશમાં હતાં. છોકરાઓએ ખાખી પૅન્ટ અને હલકા કેસરના રંગનું શર્ટ, તથા છોકરીઓએ ખાખી સલવાર અને હલકા કેસરના રંગનું કૂરતું પહેરેલાં. બધાં સ્વચ્છ અને સ્માર્ટ લાગે.
નીચેના ઓરડાઓમાં ક્લિનિકની વ્યવસ્થા થયેલી. અનેક દરદીઓ એક તરફ મૂકેલી ખુરશીઓમાં રાહ જોઈને બેઠેલાં. અમે બધાં પોતપોતાનાં ટેબલો પર ગોઠવાઈ ગયાં. પછીના છએક કલાકોમાં બસો ઉપર દરદીઓ આવતાં ગયાં, ને એમની તપાસ થતી ગઈ.
એ દરમ્યાન, વારાફરતી અમે લંચ માટે જઈ આવ્યાં. જમવા માટેનો મોટો હૉલ હતો. ત્યાં ઘણાં ટેબલો હતાં. પાણી માટે ઘણા નળ હતા. એક તરફ ખાવાનું મૂકવામાં આવેલું. સફેદ ભાત, દાળ, ભાજી, અને આરો કહેવાતા કંદનું શાક હતું. સ્વાદમાં બધું બહુ સરસ હતું. જમવા માટે પ્લેટ હતી, અને કમળનાં પાન પણ હતાં.
મેં એક પાન લીધું. લીલું, તાજું, લગભગ ગોળ, અને કેટલું બધું મોટું. હાથમાં માય નહીં. વચમાં સહેજ ખાડો, જાણે કે વાડકો. વળી, એ અક્કડ નહીં, પણ નરમ અને કોમળ, તેથી ટેબલ પર મૂકીને જ ખાવું પડ્યું, કારણકે એક હાથની હથેળીમાં પાનને રાખીને ખાવું અશક્ય હતું.
બહુ મઝા આવી એ રીતે જમવાની. જમી લીધા પછી હાથ ધોયા, ત્યારે પાનને પણ ધોઈ નાખ્યું, અને એક તરફ મૂકી દીધું. વપરાયેલાં બધાં પાન હવે ખાતર માટે જશે.
આ પછી હું કૅમૅરો લઈને કમ્પાઉન્ડમાં ગઈ, અને સ્કૂલ, મંદિર વગેરેના ફોટા લીધા. જેવી પાછી અંદર આવી, કે તરત વરસાદ શરૂ થયો. જેવો અચાનક, તેવો જ અપરંપાર. મેં બહુ સમયસર ફોટા લઈ લીધેલા.
ક્રમશઃ
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
સ્મૃતિસંપદા – સ્મરણગંગા : બાબુ સુથારઃ એક કાચબાની કથા [૫]
આ પહેલાં આપણે શ્રી બાબુ સુથારના અમેરિકામાં સ્થાયી થવાના અનુભવો વિશે જાણ્યું.હવે અંતમાં તેમની કથાનાં વર્તમાનમાં આપણે તેમની સાથે ચાલીએ……
નોકરી ગયા પછી મારો ઘર સાથેનો સંબંધ બદલાઈ ગયો હતો. મને હવે ઘર ભાર રૂપ લાગવા માંડ્યું હતું. મને થતું કે હું મારા ઘરનો ભાર ઘરમાં પણ ઊંચકીને ફરી રહ્યો છું. બીજા શબ્દોમાં કહું તો હું મારા ઘર સાથે જોડાઈ શકતો ન હતો. ફિલસૂફ હાઈડેગરે ભાષાને beingના ઘર તરીકે ઓળખાવી છે. હું ઘણી વાર ઘરને ભાષા તરીકે ઓળખાવતો. પણ, હવે એ ભાષા મને પારકી લાગતી હતી. હું એ ભાષામાં મારી જાતને બરાબર ગોઠવી શકતો ન હતો. હજી કોઈ બીજી નોકરી મળતી ન હતી. યુનિવર્સિટિઓમાં નોકરી મળવાની તો કોઈ શક્યતાઓ ન હતી. મેં કહ્યું એમ, હું જે ગુજરાતી ભાષાને કારણે અમેરિકા આવેલો એ જ ભાષાનો મારા પર મારવામાં આવેલો સિક્કો મને નડતો હતો. મેં ઘણા પ્રયત્નો કર્યા. હવે હું કોઈ પણ પ્રકારની નોકરી લેવા તૈયાર હતો. હું હોટલોમાં ગયો, મોટલોમાં ગયો, વૃદ્ધોને સાચવવા માટેની સંસ્થાઓમાં પણ ગયો. કેમ કે હું ત્યારે એવું માનવા લાગેલો કે હવે એકબે દિવસમાં હું પણ વૃદ્ધ થઈ જઈશ. આખરે મને એકબે ઠેકાણે નાનુંમોટું કામ મળ્યું. મને ગુજરાતી સ્પેલ ચેકરના એક પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળી. જો કે, એ પ્રોજેક્ટ પછી પૂરો ન થયો. એની સમાન્તરે મને ટીવી એશિયામાં સાપ્તાહિક ન્યૂઝ લેટર તૈયાર કરવાનું કામ મળ્યું. આભાર રામભાઈ ગઢવીનો અને એચ. આર. શાહનો. મારી સામે બે સાવલો હતા. પહેલો સવાલ ટકી રહેવાનો હતો અને બીજો સવાલ તે મેં જે કંઈ સામ્રાજ્ય ઊભું કરેલું એ સામ્રાજ્યને ટકાવી રાખવાનો. એ દરમિયાન દીકરાએ પણ નર્સની ડીગ્રી લઈને કામ શરૂ કરી દીધેલું. મારા મિત્ર સુઘોષ મજમુંદાર પણ હવે અમારી સાથે રહેતા હતા અને અમારી કેટલીક આર્થિક બાબતોમાં સહભાગી થતા હતા.
એ દરમિયાન, મને અને રેખાને કેલિફોર્નિયાના બે વિસ્તારમાં આવેલા પાલો આલ્ટોમાં સત્તાણું વરસના હરિકૃષ્ણ મજમુંદારની, ઊર્ફે દાદાની, કાળજી લેવાનું કામ મળ્યું. એ વખતે હું ટીવી એશિયાનું કામ પણ કરતો હતો. એચ. આર. શાહે મને કહ્યું કે હું પાલો આલ્ટોમાં રહીને કામ કરું તો વાંધો નહીં. પાલો આલ્ટોમાં મારે અને મારાં પત્નીએ દાદા સાથે રહેવાનું હતું. રેખા અને હું ફિલાડેલ્ફિયામાં રહીને જે કમાણી કરતાં હતાં એના કરતાં ત્યાં કમાણી વધારે હતી. અને બીજું, ત્યાં અમે કેલિફોર્નિયા રાજ્યના કર્મચારી તરીકે કામ કરવાના હતા. એથી અમને આરોગ્ય વીમો પણ રાજ્ય સરકાર આપતી હતી. દેખીતી રીતે જ, ત્યાં બચત પણ વધારે હતી. અમારે રહેવા તથા ખાવાપીવા પાછળ કોઈ ખર્ચ કરવાનો ન હતો.
રેખા મને કહેતી કે તું પાંસઠનો થાય ત્યાં સુધી આપણે ચિન્તા કરવાની છે. પછી તો તને આરોગ્યનો વીમો મળશે. સાચું કહું તો ત્યારથી હું પણ ક્યારે પાંસઠનો થઈશ એની રાહ જોવા લાગેલો. લોકો વૃદ્ધ ન બનવાનો સંઘર્ષ કરતા હોય છે. હું હવે વૃદ્ધ બનવા માટે સંઘર્ષ કરવા લાગેલો. એ દરમિયાન, અમેરિકાની ફેડરલ સરકારે અમારા જેવા, સિનિયરો અને દર્દીઓની સાથે રહીને એમની સેવા કરતા માણસો માટે એક ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો. એમણે રાજ્ય સરકારના પગાર પર આવકવેરો નહીં ભરવાનો. એને કારણે પણ અમારી આર્થિક સ્થિતિ હવે સુધરેલી. હું હવે ત્રણ ઠેકાણે કામ કરતો હતો. પણ, બધાં જ કામ ઘેરબેઠાં. એને કારણે મને એવું ન હતું લાગતું કે હું બહુ કામ કરું છું.
પાલો આલ્ટોમાં અમે દાદા સાથે પેરેન્ટ્સ ક્વાટરમાં રહેતાં હતાં. બધાં એને કુટિર કહેતાં. મને વારંવાર જીતપુરાની ઝૂંપડી યાદ આવી જતી. અમને એ કુટિર ખૂબ ગમતી હતી. વડોદરાના પેલા ગરાજ પછી કદાચ અમે આ કુટિરમાં વધારે સુખી હતાં. હું રોજ સવારે દાદા સાથે દસ હજાર ડગલાં ચાલવા જતો. દાદા સમાજસેવક હતા. એ લોકોની ભાતભાતની સમસ્યાઓ ઉકેલતા. એને કારણે મને પણ સિનિયર માણસોને અને ખાસ કરીને અમેરિકામાં વસતા ભારતીયોને જોવાની જરા જુદી જ દૃષ્ટિ મળેલી. મને દાદાની સેવા કરતાં સમજાયેલું કે વૃદ્ધાવસ્થા શાપ નથી. એ પણ એક લહાવો હોય છે. મને એક ટેવ છે. હું જે કામ કરું એ વિષય પરનાં પુસ્તકો વાંચું. એ ટેવ પ્રમાણે મેં એ વખતે વૃદ્ધાવસ્થા પર ઢગલાબંધ પુસ્તકો વાંચેલાં. એને કારણે વૃદ્ધોની જે ટેવો યુવાનોને નથી ગમતી એ ટેવો મને વિશિષ્ટ લાગવા માંડી હતી. જ્યારે કોઈ અમને એમ કહેતું કે વૃદ્ધો બાળકો જેવા હોય છે ત્યારે અમે એમને કહેતાં કે ના, વૃદ્ધો વૃદ્ધો જેવા હોય છે. એમને બાળકો ગણીને એમનું અપમાન ન કરવું જોઈએ.
દાદાની કુટીર આમ જુઓ તો એક બગીચાની અંદર હતી. ચારે બાજુ ભાતભાતનાં વૃક્ષો. એમાં સફરજનનાં વૃક્ષો પણ ખરાં ને ગુવાપાઈનેપલનાં વૃક્ષો પણ ખરાં. કુટિરથી મુખ્ય બજાર પણ નજીકમાં. ચાલતાં જવાય એટલું. આશરે દોઢેક માઈલ દૂર સ્ટેનફર્ડ યુનિવર્સિટી હતી. જો કે, હવે મારો યુનિવર્સિટીઓ પરત્વેનો પ્રેમ ઓછો થવા લાગ્યો હતો. મને સતત એમ લાગતું હતું કે યુનિવર્સિટિઓ ભલે માનવતાવાદ ભણાવતી હોય પણ માનવ થવા માટે જ્ઞાનને બદલે માનવસેવા કરવાની જરૂર છે. એટલે જ તો ગાંધીયુગના ગુજરાતમાં આપણને કેટલા બધા માનવસેવકો મળ્યા હતા! દાદાની કાળજી લેતાં મને અમેરિકા આવેલા ભારતીયોની ભાતભાતની કથાઓ સાંભળવા મળતી. એ કથાઓમાં આવતી વ્યથાઓ વિશે જાણીને મને થતું કે હાશ, હું બચી ગયો છું. જો મારા જીવનમાં આવી ઘટનાઓ બની હોત તો મારું શું થાત?
દાદા સાથે અમારું બીજું વરસ પૂરું થવાની તૈયારીમાં હતું ત્યાં જ દાદાનું અવસાન થયું. અમે ફરી એક વાર પાછાં બેકાર બન્યાં. પણ, હવે અમારામાં વાસ્તવિકતાનો સામનો કરવાની હિમત આવી ગઈ હતી. મારાં પત્નીએ દાદાની સેવા કરતાં કરતાં મદદનીશ નર્સનું લાયસન્સ પણ લીધેલું. એને નોકરીની કોઈ અછત ન હતી. સવાલ કેવળ મારો હતો.
દાદાના અવસાન પછી અમે પાછા ફિલાડેલ્ફિયા આવવાનું નક્કી કર્યું. આમ જુઓ તો અમે એ નિર્ણયથી ખૂબ ખુશ હતાં. અમે આખરે અમારા ઘેર આવવાનાં હતાં. અમારી હાલત હવે પેલા ઓડિસિયસ જેવી હતી. જેમ વહાણમાં પ્રવાસ કરતાં કરતાં ઓડિસિયસને એનું ઘર દેખાતું હતું એમ અમને પણ હરતાંફરતાં અમારું ઘર દેખાતું હતું.
પણ, ત્યાં જ પાછું એક તોફાન આવ્યું. અમને બન્નેને આલ્ઝાઈમેરથી પીડાતાં એક માજીની સેવા કરવાનું કામ મળ્યું. એ કામનું વેતન પણ કેલિફોર્નિયા રાજ્ય આપવાનું હતું. એને કારણે અમને બન્નેને રાજ્ય તરફથી આરોગ્ય વીમો મળવાનો હતો. હજી હું પાંસઠનો થયો ન હતો અને મને ખબર હતી કે એ માટે હું ગમે એટલી ઉતાવળ કરું, હું પાંસઠ વરસે જ પાંસઠ વરસનો થઈશ. એટલે મારો આરોગ્ય વીમાની ખાસ જરૂર હતી. વળી મેં ભાષાવિજ્ઞાનના ભાગ રૂપે આલ્ઝાઈમેરનો અભ્યાસ કર્યો હતો. પણ, મેં એ રોગના દર્દીઓ જોયા ન હતા. મને એમની સાથે કામ કરવાનો કોઈ અનુભવ ન હતો. મારે એ અનુભવ લેવો હતો. મને થતું કે જેની પાસે સ્મૃતિ ન હોય, અથવા તો સાવ ટૂંકી સ્મૃતિ હોય, એ માણસ કઈ રીતે જીવતો હશે. આખરે અમે એ નોકરી સ્વીકારી અને અમે પાલો આલ્ટોની નજીકમાં જ આવેલા ફ્રિમોન્ત શહેરમાં રહેવા અથવા તો એમ કહો ને કે કામ કરવા ગયાં. ત્યાં અમારા માટે, પાલો આલ્ટોમાં હતી એવી અલગ કુટિર ન હતી. અમારે અમારા દર્દીનાં કુટુંબીઓ સાથે રહેવાનું હતું. રેખાએ રાતદિવસ અને મારે દિવસે દર્દી સાથે રહેવાનું હતું. મારું કામ રેખાને મદદ કરવાનું અને દર્દીને વાહનવ્યવહારની સુવિધા પૂરી પાડવાનું હતું. એમ કરતાં જે સમય બચે એ સમય દરમિયાન હું વાંચતો, લખતો, ફિલ્મો જોતો.
અમે ફ્રિમોન્તમાં લગભગ સાડા ત્રણ વરસ રહ્યાં. અમને એમ હતું કે અમારાં દર્દી બહુ લાબું નહીં ટકે. પણ, એવું ન બન્યું.
આ સમય દરમિયાન અમે ઘણું શીખ્યાં. દર્દી પાસેથી, એમનાં કુટુંબીઓ પાસેથી, દર્દીના દાક્તરો પાસેથી. મેં પણ મારી ટેવ પ્રમાણે આ વરસો દરમિયાન આાલ્ઝાઈમેર પરનાં નહીં નહીં તો પચાસેક પુસ્તકો વાંચ્યાં હશે. હું સમજવા માગતો હતો મારાં દર્દીને, એમના રોગને, એમની વ્યથાને. સ્મૃતિના અભાવે અમારાં દર્દી હસતાં તો પણ મને એમાં અપાર પીડા દેખાતી. અમે પણ એમની સાથે હસતાં. પણ, અમારા હાસ્યનો એક ખૂણો હંમેસાં ઉદાસીમાં બોળાયેલો રહેતો.
આ વરસો દરમિયાન મેં ઘણું વિચાર્યું. મારા વિશે, બીજા લોકો વિશે, વૃદ્ધાવસ્થા વિશે, આલ્ઝાઈમેર વિશે, ઈશ્વર વિશે, મારી હવે લગભગ નકામી થઈ ગયેલી ડીગ્રીઓ વિશે. મને હવે આઈ વી લીગમાંથી પીએચડીની ડીગ્રી મેળવવાનું કોઈ ગર્વ થતું ન હતું. મારો જીવન પરત્વેનો અભિગમ હવે ઘણો બધો બદલાઈ ગયો હતો. એથી જ તો હું નાસ્તિક હોવા છતાં, મેં એક દિવસે, ખૂબ જ લાગણીશીલ બનીને, ઈશ્વરનો આભાર માનતાં કહેલું કે જો મારી નોકરી ન ગઈ હોત તો મારો અન્ત અમાનવીય શિક્ષણ વ્યવસ્થાના પ્રાણીસંગ્રહાલયમાં જ આવત. આભાર ઇશ્વર, હવે હું માણસાઈને વધારે સારી રીતે સમજી શકું છું.
એ દરમિયાન, હું પાંસઠનો થયો. નંદ ઘેર આનંદ ભયો. મેં આરોગ્યના વીમા માટે અરજી કરી. મને વીમો ગયો. એથી કેવળ મને જ નહીં, રેખાને પણ રાહત થઈ. એક દિવસ રેખાએ મને કહ્યું પણ ખરું કે હવે હું કોઈક સ્ટોર પર કામ કરીશ તો પણ આપણે શાન્તિથી રહી શકીશું. અમે બન્ને, કોણ જાણે કેમ, પહેલેથી જ મહત્વાકાંક્ષી ન હતાં. હું બધાંને કહેતો કે હું અમેરિકા મિલિયોનર થવા નથી આવ્યો. હું જ્ઞાન મેળવવા આવ્યો છું. હું આજે પણ એ જ કામ કરું છું. અઢળક વાંચું છું. અઢળક વિચારું છું.
ફ્રિમોન્તમાં અમારું ચોથું વરસ પૂરું થવાની તૈયારી હતી ત્યાં જ અમારાં દર્દીનું અવસાન થયું. આલ્ઝાઈમેરના દર્દીની સેવા કરવામાં એક મુશ્કેલી પડતી હોય છે. આપણે એવા દર્દીને અઢળક પ્રેમ આપવો પડે. એ પ્રેમ એને સલામતિ આપે. એને જીવવા માટેનું કારણ પૂરું પાડે. અમે એ કામ કરેલું. પણ, એ પ્રેમ સાચુકલો ન હોવો જોઈએ. નાટક હોવો જોઈએ. અમે શરૂઆતમાં દર્દીને પ્રેમ આપવાનું નાટક કરતાં. અમે અમારી નોકરીના ભાગ રૂપે એમને પ્રેમ આપતાં. પણ, ક્યારેક કોઈક નાટક લાંબું ચાલે તો એ વાસ્તવિકતા બની જાય. અમારા કેસમાં પણ એવું બની ગયું. અમારું અમારા દર્દીને પ્રેમ કરવાનું નાટક એક વાસ્તવિકતા બની ગયું. અમે એ ઘટના જાહેરમાં વ્યક્ત ન કરી પણ અમારાં દર્દી ગયાં એ સાથે જ અમને લાગ્યું કે અમારા જીવનનું એક અંગ કપાઈ ગયું છે. જો કે, એમ થવાનું જ હતું. આમેય એમની ઉમર સત્તાણું વરસની હતી. પણ, એ હાલતાં, ચાલતાં, વાતો કરતાં, ગીતો ગાતાં. અને હા, ક્યારેક અમે પણ ખડખડાટ હસી પડીએ એવી મજાક પણ કરતાં.
અમારા એ દર્દીના ગયા પછી બીજા કે ત્રીજા જ દિવસે અમે ત્યાંથી નીકળી ગયાં. હવે હું અને રેખા પાછાં ઓડિસિયસની ભૂમિકામાં આવી ગયેલાં. હવે અમે ફિલાડેલ્ફિયા, અમારા ઘેર, પાછા આવવા તૈયારી કરવા લાગ્યાં હતાં. પણ, અમે નીકળીએ એ પહેલાં જ એક ઓફર આવી. એ ઓફરમાં રેખાએ એક તાજા જ જન્મેલા બાળકની કાળજી રાખવાની હતી અને મારે એમાં રેખાને મદદ કરવાની હતી. અમે બન્ને એક બાબતે નસીબદાર હતાં. જે કોઈ અમને કામની ઓફર કરતું એ એમ કહેતું કે તમે બન્ને અમારા ત્યાં સાથે રહો તો જ અમે તમને નોકરીએ રાખીએ. જો કે, આ ઓફરમાં એક શરત એ હતી કે પહેલાં રેખા ત્યાં કામ કરવા જાય. પછી હું. કેમ કે જેમણે આ ઓફર કરેલી એમનું ઘર હજી બની રહ્યું હતું. એ ઘર બને એ પહેલાં બાળકનો જન્મ થવાનો હતો. અમે એ કામ માટે હા પાડી. કેમ કે, એમાં મને એક આડકતરો લાભ થવાનો હતો. અમે જે બાળકની કાળજી રાખવાનાં હતાં એનાં માબાપે રેખાને કહેલું કે તમારે અમારા બાળકને દ્વિભાષી બનાવવાનું છે. એટલે કે અમારે એ બાળક સાથે ગુજરાતીમાં વ્યવહાર કરવાનો છે. આ પણ એક ભાષાવૈજ્ઞાનિક કામ હતું. હું પણ હવે બાળકો દ્વિભાષી કઈ રીતે બનતાં હોય છે એ સમજવા માગતો હતો. પણ, હજી અમારે ત્રણ મહિના પછી એ કામ શરૂ કરવાનું હતું. મેં અને રેખાએ એ ત્રણ મહિના આરામ કરવાનું નક્કી કર્યું. વળી એ ત્રણ મહિના દરમિયાન દીકરાનું લગ્ન પણ લેવાનું હતું.
આખરે અમે અમારો મોટા ભાગનો સામાન ફિલાડેલ્ફિયા મોકલી આપ્યો. કેટલોક પાલો આલ્ટોમાં રાખ્યો. ત્યાંથી હું ડ્રાઈવ કરીને એડીનબર્ગ, ટેક્સાસમાં રહેતા મારા દીકરાને ત્યાં જવા માગતો હતો. અને ત્યાંથી હું ફરી એક વાર ડ્રાઈવ કરીને ફિલાડેલ્ફિયા આવવા માગતો હતો. પણ, રેખા ડ્રાઈવ કરવા માટે ના પાડતી હતી. એથી અમે હવાઈ માર્ગે એડીનબર્ગ ગયાં. દીકરાને ત્યાં. ત્યાં એકાદ મહિનો રહ્યાં ને પછી ત્યાંથી ઘેર, એટલે કે ફિલાડેલ્ફિયા, આવ્યાં. અમે પાંચ વરસ પછી ઘેર આવેલાં. એથી શરૂઆતમાં અમારા ઘરમાં અમે અમને અજાણ્યાં લાગતાં. ઘરની વસ્તુઓ જાણે કે અમારાથી રિસાઈ ગઈ ન હોય એવી ઉદાસ લાગતી.
હવે અમે ઘેર હતાં. અમારા પોતાના ઘેર. ‘અગ્નિકૃપા’માં. પણ, અમે કામ કરતાં ન હતાં. એને કારણે થોડાક જ વખતમાં અમે કંટાળવા લાગેલાં. આખી જીંદગી કામ કર્યા પછી બે દિવસ આરામના મળે તો ગમે. પણ ત્રણ મહિના આરામ મળે તો ન ગમે. અમને એવું લાગવા માંડેલું કે અમે અમારા પર બોજો બની ગયાં છીએ.
એમ કરતાં દીકરાનું લગ્ન આવી ગયું. એ, મેં કહ્યું છે એમ, રહેતો હતો ટેક્સાસના એડીનબર્ગમાં, પણ એ પરણવાનો હતો દેનવરમાં. પાછાં અમે દેનવર ગયાં. એનું લગ્ન થઈ ગયું. પછી એક માળામાં રહેતાં ચાર પંખીઓ ત્રણ અલગ અલગ દિશાઓમાં ગયાં. દીકરો અને એની વહુ એડીનબર્ગ પાછાં ગયાં. રેખા પેલા બાળકની કાળજી રાખવા કેલિફોર્નિયાના વેસ્ટ હોલીવુડ ગઈ. હું ફિલાડેલ્ફિયા આવ્યો. કેમ કે, જેણે અમને કામની ઓફર કરી છે એમનું ઘર હજી બની રહ્યું છે. અત્યારે એક કુટુમ્બના ત્રણ સભ્ય અમેરિકાના ત્રણ અલગ અલગ શહેરોમાં વસે છે.
ગુફાવાસી મનુષ્ય કાં તો એની ગુફામાં મરતો, કાં તો ગુફાની બહાર. એક ફ્રેંચ ફિલસૂફ Philippe Aries કહે છે એમ આધુનિક જમાનામાં બહુ ઓછા લોકો પોતાના ઘરમાં, પોતાના સ્વજનોની હાજરીમાં મરતા હોય છે. મોટા ભાગના લોકો કાં તો દવાખાનામાં કે દવાખાને જતા માર્ગે મરતા હોય છે. એ પણ દાક્તર, નર્સ વગેરેની હાજરીમાં. હવે ઘરની વિભાવના પણ બદલાવા માંડી છે. માણસ બહુ ઓછું પોતાના ઘરમાં રહેતો હોય છે. અથવા તો એમ કહો કે હવે માણસ પેલી ઇસપની બોધકથામાં આવતા કાચબા જેવો બની ગયો છે. એ હંમેશાં પોતાનું ઘર પોતાની પીઠ પર લઈને ફરતો હોય છે. ઘણી વાર મને લાગે છે કે આપણામાંના ઘણા બધા કદાચ એ શાપિત કાચબાનાં સંતાનો છીએ. આપણે સતત આપણું ઘર આપણી સાથે લઈને ફરતા હોઈએ છીએ. હવે ધરતીનો છેડો ઘર નથી રહ્યું. હવે ધરતી છેડા વગરની થઈ ગઈ છે. એથી જ્યાં ધામા નાખ્યા ત્યાં ઘર. અથવા તો, જ્યાં કામ મળ્યું ત્યાં ઘર. હવે કામ મહત્ત્વનું છે. ઘર ગૌણ. મુકત અર્થતંત્રએ હવે ઘરનું મૂલ્ય બદલી નાખ્યું છે. હું પણ ફિલાડેલ્ફિયામાં બેઠો બેઠો રાહ જોઈ રહ્યો છું. કદાચ ઓગસ્ટમાં, કે સપ્ટેમ્બરમાં, હું ફરી એક વાર આ નગરને ટ્રોય ગણીને એને ત્યજીને ચાલ્યો જઈશ. મારું ઘર અહીં, ફિલાડેલ્ફિયામાં હશે, અને હું બીજે. કેવળ છોડ કે વૃક્ષો જ પૃથ્વી સાથે સંબંધ રાખે છે. પ્રાણીઓ નહીં. પ્રાણીઓ હંમેશાં ફરતાં રહેતાં હોય છે. અથવા તો એમ કહો કે પ્રાણીઓ કદી પણ પૃથ્વીને વફાદાર રહેતાં નથી. હું પણ એક એવું પ્રાણી જ છું. હું ઇસપનો પેલો કાચબો છું. આ કથા એ કાચબાની કથા છે.
સમાપ્ત
હવે પછીઃ ડૉ. દિનેશ ઓ. શાહ – જીવન ઝરમર -
એસ ધમ્મો સનંતનો – કેટલાક વિશેષ વિચારણીય મુદ્દાઓ
પ્રવાસી યુ. ધોળકિયા
પ્રસ્તુત લેખમાળામાં આપણે વૈદિક, જૈન, બૌદ્ધ, પૌરાણિક, આગમિક, તાંત્રિક, ભક્તિ માર્ગ જેવી સનાતન ધર્મની અતિપ્રાચીન અને વિશાળ વટવૃક્ષની શાખાઓ જેવા વિષયોનો બહુ ટુંકો પરિચય કર્યો.
પસંદગી અને પ્રસ્તુતતાની વિમાસણ
કાળક્રમની દૃષ્ટિ એ જોઈએ તો વૈદિક પરંપરાનો આરંભ પ્રથમ સ્વયંભૂ મન્વંતરમાં થયો. જૈન અને બૌદ્ધ શ્રમણ પરંપરાઓ પણ એટલી જ પ્રાચીન છે. આ સિવાયની ચાર પરંપરાઓનો પ્રારંભ, આજથી લગભગ સિતેર હજાર વર્ષ પૂર્વે, છઠ્ઠા ચાક્ષુસ મન્વંતર અને સાતમા વૈવશ્વત મન્વંતર દરમ્યાન થયો. પુરાણોમાં દરેક મન્વંતરનો કાળ ૩૦ કરોડથી વધારે વર્ષ આપવામાં આવ્યો છે. આનાથી વધારે દીર્ઘકાળની ગણતરીઓ ચાચકોને કદાચ માન્ય ન હોય. આપણે કાળ ગણતરીઓનો આધાર કચ્છી સંત મામૈદેવના આગમોમાંથી લીધો છે.
આપણે સનાતનીઓ ભાગ્યશાળી છીએ કે આપણને ધર્મને અધ્યાત્મની સાત પરંપરાઓનો વારસો મળ્યો છે. તેથી એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉદ્ભવે કે આપણા ટુંકા આયુષ્યમાં આપણે કઈ પરંપરા અપનાવવી જોઈએ. આ સંદર્ભમાં નીચે જણાવેલા મુદ્દાઓ ધ્યાનમાં લઈને દરેક વ્યક્તિએ પોતાનો માર્ગ પસંદ કરવો જોઈએ.
વેદમાં ઈંન્દ્ર, અગ્નિ, સોમ, બૃહસ્પતિ, સિનીવાલી, કુહુ ઇત્યાદિ જેવા જે દે દેવીઓ હતાં તેમની આજે કોઈ પૂજા કે અર્ચના નથી થતી. વળી વેદ અને બ્રાહ્મણ ગ્રંથોમાં જે ૧૪ મુખ્ય યજ્ઞો અને અનેક પેટાયજ્ઞો આલેખાયા છે તે આજે થતા નથી. વેદમાં જે ગાઢ રહસ્યવાદ રહેલો છે તે સાવ અગમ્ય છે. જોકે ધર્મસુત્ર અને ધર્મશાસ્ત્રોમાં ફક્ત વૈદિક દેવોને જ સ્થાન મળ્યુંછે. તેમાં આપણા પંચ દેવો – બ્રહ્મા, વિષ્ણુ,મહેશ, આદ્યાશક્તિ કે સૂર્ય- ને સ્થાન આપવામાં નથી આવ્યું. એકંદરે, વર્તમાનમાં આપણે જે હિંદુ ધર્મ પાળીએ છીએ તેના મજબૂત પાયાઓમાં માત્ર ૨૫ ટકા હિસ્સો વૈદિક પરંપરાઓનો છે. આજે વૈદિક ધર્મ લગભગ લુપ્ત થયો છે. તેથી તે પળાતો નથી.
શ્રમણ પરંપરાના જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા માંડ પચાસેક લાખની છે. આ ધર્મ ગુજરાત, મુંબઈ અને બહુ ઓછા હિંદી ભાષી વિસ્તારોમાં પાલન કરવામાં આવતો જોવા મળે છે. શ્રમણ ધર્મની બીજી પરંપરા, બૌદ્ધ પરંપરા, ભારતમાં ખંડિત થયેલી છે. ફક્ત ગઈ સદીમાં ડૉ. બી આર આંબેડકરે તેનો પુનરૂદ્ધાર કર્યો. તેથી બૌદ્ધ પરંપરાના અનુયાયીઓ મોટા ભાગે મહારાષ્ટ્ર પુરતા સિમિત છે. આપણે શીખ ધર્મનો ઉલ્લેખ નથી કર્યો કેમકે સાચા અર્થમાં તો તે ભક્તિ માર્ગનો એક પંથ છે. હિંદુઓ અને શીખોમાં ફાટ પાડવા માટે ખંધા અંગ્રેજોએ શીખ પંથને એક વિશ્વ ધર્મ બનાવી દીધો.
તેમ છતાં એટલું તો ચોક્કસપણે કહી શકાય કે અનુપાલનમાં અનેક મર્યાદાઓ, અવરોધો, અને સમયાંતરની સાથે થતા ફેરફારો છતાં, ઉપરોક્ત સનાતની પરંપરાઓએ આપણા દેશને દેદિપ્યમાન કર્યો છે.
પુરતું અને અધિકૃત સાહિત્ય ઉપલબ્ધ ન હોવાને કારણે આજીવક અને ચાર્વાક સંપ્રદાય પર લખવાનું ટાળ્યું છે.
સનાતનીને એ પ્રશ્ન સતાવે છે કે આપણા વેદ, પુરાણ, આગમ અને તાંત્રિક ગ્રંથોમાં અનેક મંત્રો મળે છે. સામાન્ય વ્યક્તિને એ મુંઝવણ થાય કે આ બધા મંત્રોમાંથી કયા મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ. વિદ્વાનો આ બાબતે એવું મંતવ્ય ધરાવે છે કે કળિયુગમાં વેદ મંત્રોનો પ્રભાવ નથી રહ્યો. એટલે પુરાણ અને આગમમાં મળતા મંત્રોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અહીં એ પણ નોંધવું પડશે કે પુરાણ અને આગમના મંત્રો એ નામમંત્રો છે. તેથી તેના સ્મરણ અને ઉચ્ચારણથી સામાન્ય ભક્તોની ઈશ્વર પ્રત્યેની ભક્તિમાં શ્રદ્ધાનું તત્વ દૃઢ બને છે. તેઓ જો સુકર્મથી સદ્ભાગ્ય સાથે જન્મ્યા હોય તો તેમને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. તેની સરખામણીમાં તાંત્રિક મંત્રો અણુશક્તિ જેવા અતિ શક્તિશાળી છે. આ મંત્રોમા ૐ, ઐં, હ્રી, ક્લીં, શ્લુ, હું, ગ્લું, જૂં, સઃ, જ્વલ જેવા બીજાક્ષરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવા મંત્રો સામાન્ય ભક્તો માટે નહિં પણ સાધકો અને ઉપાસકો માટે છે. જો તેઓને યોગ્ય ગુરુનું માર્ગદર્શન મળે તો તેઓને અનન્ય સિદ્ધોની પ્રાપ્તિ શક્ય બને છે અને છેવટે શિવત્વમાં ભળી જવાની તક મળે છે.
આપણી યોગિક પરંપરાઓના પણ અનેક ફાંટાઓ છે. પતંજલિનાં યોગસૂત્રો. શ્રીકૃષ્ણની ભગવદ્ ગીતામાં વર્ણવાયેલા અઢાર યોગમાર્ગો, ગોરખનાથે સૂચવેલા અનેક યોગમાર્ગો અને સ્વામી વિવેકાનંદે સૂચવેલા રાજયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ પણ વિશેષપણે અસરકારક મનાય છે. તે જ પ્રમાણે તંત્રયોગ પણ બહુપ્રચલિત યોગમાર્ગ છે. તેના પ્રણેતા આદિયોગી શિવ છે. આધુનિક સમયમાં તેને ઓશો રજનિશ અને સદ્ગુરુ વાસુદેવે કેન્દ્રસ્થાને લાવી મૂકેલ છેં. મહાવતાર બાબા યુક્તેશ્વરજી, લાહિડી મહાશય અને યોગાનંદે આપણા માટે ક્રિયાયોગ સુલભ બનાવ્યો છે.
આ બધી યોગિક પરંપરાઓમાંથી આપણા માટે કયો માર્ગ અનુકૂળ રહી શકે તે વિશે ઓશો રજનિશ જણાવે છે કે જેઓ બહિર્મુખી છે તેઓ માટે તંત્રયોગ સારાં પરિણામ નથી આપતો, પરંતુ અંતર્મુખીઓ માટે આ યોગ વધારે કારગત નીવડી શકે છે. બહિર્મુખીઓ માટે બાકીની યોગક્રિયાઓ વધારે સફળ નીવડી શકે છે. સારી વાત એ છે કે આપણામાંનો મોટા ભાગનાં લોકો દ્વિમુખી (બહિર્મુખી અને અંતર્મુખી એમ બન્ને પ્રકારનું) વ્યક્તિત્વ ધરાવતાં હોય છે. તેથી બધા જ યોગમાર્ગો, ઓછેવત્તે અંશે, સાનુકૂળ નીવડી શકે છે.
કળિયુગ ઇ. સ. ૧૯૭૮-૭૯માં સમાપ્ત થઈ ગયો. અત્યારે તેની ૧૦૦ વર્ષની યુગસંધિ ચાલે છે. તેથી વિદ્વાનો જણાવે છે કે વેદકાળના अहं ब्रह्मास्मि, तत्वमसि જેવા પાંચ મહામંત્રો પ્રભાવશાળી નથી રહ્યા. તેને સ્થાને પછીથી આવેલા ગ્રંથોમાંના सत्यम् शिवम् सुंदरम्, सत् चित् आनंद વધારે અસરકારક અને પ્રાસંગિક છે, તેથી આજના સમયમાં તેમનો ઉપયોગ હિતાવહ છે. વૈદિક ગ્રંથોના નાસદીય સુક્ત, પુરુષ સુક્ત, મહામૃત્યુંજય મંત્ર અને तमसो मा ज्योतिर्गमय શાન્તિ મંત્રનું પ્રચલન આજે પણ એટલું જ અસરકારક છે. એમ છતાં આપણા જેવા સામાન્ય લોકોએ ॐ नमः शिवाय, ॐ भगवते वासुदेवाय, ॐ सूर्याय नमः અને શ્રીગણેશઅર્થશીર્ષ સ્તોત્ર, શ્રી સપ્તલોકી દુર્ગાપાઠ, શક્રાદય, દેવી સુક્ત, અને મહિમ્નસ્તોત્રનો ઉપયોગ કરવો જોઈએ એવું મહાન આચાર્યો સુચવે છે
ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક વિચારધારાઓમાં પચીસ તત્વોવાળાં કપિલ મુનીનાં સાંખ્યશાસ્ત્રની અને છત્રીસ તત્વોવાળા શિવના સિદ્ધાંતની વિચારધારાઓનું ખાસ મહત્વ છે. તે ઉપરાંત શંકરાચાર્યનો અદ્વૈતવાદ, રામાનુજાચાર્યનો દ્વૈતવાદ અને અન્ય આચાર્યો દ્વારા પ્રસ્થાપિત કરાયેલ દ્વૈતાદ્વૈત અને અચિંત્યાભેદ વાદોનો પણ એટલો જ ગાઢ પ્રભાવ ભારતના તત્વજ્ઞાન, ધર્મ અને આધ્યાત્મ પર જોવા મળે છે. પરિણામે, નાછૂટકે, આપણા જ્ઞાનીઓને પુરાણ, આગમ અને તંત્રશાસ્ત્રોમાં પણ આ બધા સિદ્ધાંતો અને વાદવિવાદોને સ્થાન આપવું પડ્યું અને ગ્રંથોને ફરીથી લખવા પડ્યા. ઉદાહરણ તરીકે, દક્ષિણ ભારતના બધાં સાહિત્ય પર દ્વૈત વાદની અને શિવ શાસ્ત્રનાં છત્રીસ તત્ત્વોની અસર છે. પરંતુ, કાશ્મીરની શૈવ પરંપરામાં વાસુગુપ્ત, ઉત્પલદેવ અને અભિનવગુપ્ત વગેરે એ અદ્વૈતમાર્ગ અને મહદ્ અંશે કપિલ મુનીના પચીસ તત્વોનો ઉપયોગ કર્યો છે.
હવે પછીના મણકામાં લેખમાળામાં હજુ ઐતિહાસિક મૂલ્યાંકન વિશે વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
શહેરને સ્વચ્છ રાખવામાં નિષ્ફળતા કેમ મળે છે?
સ્વરૂપ સંપટ

આપણે ત્યાં કોઇ પણ શહેરમાં તમે ચાલતા નીકળો અને તમને અનેક બાબતો જોવા મળે : ગલીના નાકે અથવા કોઇ ખૂણામાં કચરાનો ઢગલો, બાંધકામ ચાલતું હોય ત્યાં પડેલો કાટમાળ, કચરામાંથી વીણીને ખાતાં ભૂખ્યાં પ્રાણીઓ, તૂટેલા ફૂટપાથ પર જબરદસ્તી ચાલવા માટે લાચાર લોકો.
આ કંઇ પ્રાસંગિક નથી. ખરેખર તો આ મોટી નિષ્ફળતા છે, જે સતત શહેરો અને મહાનગરોમાં, રાજ્યો અને રાજકીય પક્ષોમાં પણ જોવા મળે છે અને તેથી આ નિષ્ફળતાના હાર્દમાં ખરેખર તો એક સંસ્થા છે, જેના વિશે આપણે જવલ્લે જ વાત કરતાં હોઇએ છીએ અને તે છે મહાનગરપાલિકા. તેનું કામ શહેરી જીવનને સુચારુ બનાવવાનો છે. તેમનું કામ એટલું ગ્લેમરસ નથી – કચરાની વ્યવસ્થા કરવી, રસ્તાઓની જાળવણી, શેરી-ગલીઓની લાઇટ, ગટર લાઇન, બાંધકામની જાળવણી, પ્રાણીઓ પર નિયંત્રણ રાખવું વગેરે. જ્યારે તે આમાં નિષ્ફળ નીવડે છે, ત્યારે બધું જ કડડભૂસ થઇ જાય છે. ભલે ગમે એટલા ફ્લાયઓવર બાંધવામાં આવે કે ગમે તેટલા મોલ્સ શહેરોમાં શરૂ થાય, પણ જો કચરો સમયસર ભેગો કરીને ઉઠાવવામાં ન આવે અથવા ગટર ભરાઇ ગઇ હોય, તો જીવનની ગુણવત્તામાંથી પણ દુર્ગંધ આવવા લાગે છે.
સવાલ એ થાય કે મહાનગરપાલિકા નિષ્ફળ કેમ જાય છે? આનો એક ઉત્તર એવો હોઇ શકે કે આપણે જ એ રીતે વર્તીએ છીએ. તેઓને સરકારી કર્મચારીઓના ગરીબ ભાઇ-બહેનો તરીકે જોવામાં આવે છે – ગરીબ કર્મચારીઓ અને સત્તાધીશોની ચાલાકી. રાજ્ય સરખાર જવલ્લે જ તેમનું સંપૂર્ણપણે સશક્તિકરણ કરવામાં રસ દાખવે છે, એટલે સુધી કે બંધારણના ૭૪મા નિયમ અનુસાર તેમને શહેરની સ્થાનિક સંસ્થાઓનો સહયોગ મળવો જોઇએ તે પણ નથી મળતો. તેના બદલે તેમનો ઉપયોગ માત્ર વોટ બેંક અથવા સાવ નિમ્નસ્તરીય કામગીરી માટે કરવામાં આવે છે. રહેવાસીઓ જ્યારે ભેગા થયેલા કચરાને ઉઠાવાતો નથી એવી ફરિયાદ કરે અને પરિણામ શૂન્ય આવે અથવા તો ગેરકાયદેસર બાંધકામ મ્યુનિસિપલના આશીર્વાદથી રાતોરાત બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે.
એક દાયકા અગાઉ જ્યારે મોટી હસ્તીઓએ હાથમાં ઝાડુ લઇને ફોટા પડાવ્યા ત્યારે કંઇક નવીન જ અનુભવાયું. આપણને થયું, કોઇક તો છે જે સ્વચ્છતા વિશે વાત કરે છે અને તેની દરકાર કરે છે, પણ પ્રતીકાત્મક બાબતોથી જે પ્રથા હોય તે બદલાતી નથી. પ્રખ્યાત લોકોએ થોડી મિનિટો માટે હાથમાં ઝાડુ લીધું. તેથી શહેર સ્વચ્છ નહોતું થયું. શહેર ત્યારે જ સ્વચ્છ બને જ્યારે મ્યુનિસિપલ કામદારોને યોગ્ય તાલીમ અપાઇ હોય, તેમની પાસે જરૂરી સાધનો હોય અને તેનું નિરીક્ષણ બરાબર થતું હોય. નિષ્ક્રિય મહાનગરપાલિકા સંપૂર્ણ શહેરને પણ ખરાબ બનાવે છે. જે અધિકારીઓ સ્વચ્છતાના પાયાના નિયમોથી પણ વાકેફ ન હોય તેમની પાસેથી વિશ્વસ્તરીય સ્વચ્છતાના ધોરણોની અપેક્ષાની કલ્પના કરવી નકામી છે.
આની સૌથી ભયજનક બાબત એ છે કે કઇ રીતે ભ્રષ્ટાચારને કારણે બિનકાર્યક્ષમતાને પ્રોત્સાહન મળે છે, કચરાના ઢગલા ભેગા કરવાના કોન્ટ્રાક્ટ એકથી બીજા પાસે થઇને અંતે કુખ્યાત લોકોને જ મળે છે, ગેરકાયદેસર બાંધકામમાં વધારો થાય છે કેમ કે મ્યુનિસિપલ કાર્યાલય અલગ જ રીતે જુએ છે. તૂટેલી ફૂટપાથ ક્યારેય રિપેર થતી નથી કેમ કે બજેટ ઓછું પડે છે. પ્રામાણિક અધિકારીઓ અથવા કામદારોને હાંસિયામાં ધકેલી દેવાય છે અથવા તેમને નિરાશ કરવામાં આવે છે. આ ચક્ર ચાલ્યા જ કરે છે.
નાગરિકોએ હવે તેમની પીઠ થાબડવાનું બંધ કરીને કહેવું જોઇએ, ‘આ ભારત છે.’ મહાનગરપાલિકાઓ હવે વધારે દૂર નથી, વિચિત્ર સંસ્થા નથી, તે આપણા માટે ખૂબ ગણતરીપૂર્વક વર્તે છે. આપણે જાતજાતના ટેક્સની ચૂકવણી કરીએ છીએ. જો તેઓ તેમનું કામ ન કરે, તો આપણે તેમની પાસેથી જવાબ માગવો જોઇએ.
એ માટે શું થઇ શકે?
સૌપ્રથમ તો મહાનગરપાલિકાઓનું વ્યાવસાયિક સંસ્થા તરીકે પુનર્ગઠન કરવાની જરૂર છે. એટલે કે તાલીમ પામેલા એન્જિનિયર્સ, શહેરના વહીવટદારો અને સેનિટાઇઝેશનના નિષ્ણાતો હોવા જોઇએ – જેમાં કોઇ સગાંવાદ ન હોય અથવા તો એવા લોકો સામેલ ન હોય જેઓ સરળ સરકારી નોકરીઓ મેળવવા માગતા હોય છે. કામદારોને યોગ્ય સાધનો આપવા જોઇએ : ગ્લવ્ઝ, સુરક્ષાત્મક ગીયર, મિકેનાઇઝ્ડ વાહનો અને કચરાના એકત્રીકરણની ટેક્નોલોજી, જે માણસની પાસે ઝાડુ હોય તેની પાસેથી સ્વચ્છતાની અપેક્ષા રાખવી અને કોઇ જાતના સલામતીના સાધનો ન હોય, તે બાબત એકવીસમી સદીમાં વાહિયાત ગણી શકાય.
બીજું, જવાબદારીભર્યા મિકેનિઝમને પણ મહત્ત્વ આપવું જોઇએ. જો કચરો ચોવીસ કલાકમાં જે તે સ્થળેથી સાફ ન થાય, મ્યુનિસિપલ ચેઇનમાં કોઇક એવું જોઇએ, જે આ પરિણામોનો સામનો કરી શકે. ડિજિટલ પ્લેટફોર્મમ્સ પણ મદદરૂપ થઇ શકે. નાગરિકો તેમની ફરિયાદો અપલોડ કરી શકે અને તેના ઉકેલ માટે શું કરવામાં આવી રહ્યું છે, તેનો ખ્યાલ મેળવી શકાય.
ત્રીજું, આપણે સંસ્કૃતિમાં ફેરફાર કરવાની જરૂર છે. શહેરી સરકારીઓ માત્ર ઉપર-નીચેના આદેશોને જ અનુસરવાને બદલે નાગરિકોની જરૂરિયાતોમાં સહભાગી થાય. નિવાસ કલ્યાણ સંસ્થાનો, પાસપડોશના સમૂહો અને સામાન્ય નાગરિકો સ્થાનિક સંસ્થાઓ પર દબાણ કરી શકે, કાર્યનું નિરીક્ષણ કરે અને જાહેર સ્થળોએ કોઇ પણ જાતની અસ્વચ્છતા અથવા અવ્યવસ્થા ચલાવી લેવાની સ્પષ્ટ ના કહે.
અંતે રાજકારણ જ ચાવીરૂપ થશે. મુખ્યમંત્રીઓ અને મેયર્સે મહાનગરપાલિકાને તેની અચોકસાઇ માટેનું ડમ્પિંગ ગ્રાઉન્ડ ન બનાવવા જોઇએ. તેમને સશક્ત બનાવી અને તેમના પર જવાબદારી નાખવી જોઇએ. શહેરોને ઘણીવાર આર્થિક વિકાસના એન્જિન તરીકે, સંસ્કૃતિના હબ અને પ્રેરણા સ્થળ તરીકે વર્ણવવામાં આવે છે. જોકે, શહેર પણ ધોવાઇ રહ્યું છે, તેના કચરાનો નિકાલ થઇ રહ્યો છે, તેના ફૂટપાથ, તેની પોતાાને જીવંત રાખવાની ક્ષમતા ઘટી રહી છે.
ભારતમાં આપણે વિશ્વસ્તરીય શહેરોનું સપનું જોઇએ છીએ, પણ જ્યાં સુધી મહાનગરપાલિકાઓમાં ચોકસાઇ નહીં આવે અને ગણતરીપૂર્વક કામ થતું હોય, તો આ સમણું માત્ર સમણું જ રહેવાનું. સત્ય સાવ સાદું છે, આપણાં શહેરોનું ભાવિ આપણે આજે શેરીમાં સ્વચ્છતા જાળવવાને કેટલી ગંભીરતાથી લઇએ છીએ તેના પર આધારિત છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખિકા, ડૉ. સ્વરૂપ સંપટ,ની કોલમ ‘સ્વરૂપ Says ’ માં પ્રકાશિત લેખ
