વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • “ગાય” પાળશું કે “ભેંશ” ?

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

           આપણા દેશમાં દૂધ માટે ઉપયોગમાં આવતાં પ્રાણીઓમાં ગાય, ભેંશ અને બકરી મુખ્ય છે.પણ ટકાવારીમાં બકરીનું દૂધ તો માત્ર બેથી પાંચ ટકા વચ્ચેનું છે.બાકીનો જથ્થો ગાય અને ભેંશ પૂરો પાડે છે. આ બે પ્રાણીઓમાં પણ ગાય પાળવી કે ભેંશ ? એ બાબતે આપણે જ્યારે હિંદુસ્તાનના ખેડૂત તરીકે નિર્ણય લેવાનો હોય ત્યારે બે-ત્રણ વધુ વજનદાર બાબતોથી વાકેફ રહેવું વધુ જરૂરી ગણાય.   

    તસવીર – સાંદર્ભિક
    નેટ પરથી સાભાર

    [1] બન્નેના દૂધની ગુણવત્તા =ડેરીનો ધંધો કરવાવાળા દૂધનું મુલ્યાંકન તેની અંદર રહેલા માત્ર ચરબીના પ્રમાણ પરથી નક્કી કરે છે તે બરાબર નથી. કારણ કે ચરબી તો દૂધમાં રહેલાં અનેક પોષકતત્વો માહ્યલું એક સામાન્ય તત્વ છે. આ સિવાય પણ દૂધમાં તો બીજા ઘણાબધા કિંમતી તત્વો સમાયેલાછે જ ! આવા કિંમતી તત્વોની વાત કોરાણે રાખી માત્ર ચરબી વધુ હોવાના કારણોસર ભેંશોના દૂધને વધુપડતું મહત્વ આપવાનું શરુ થયું ત્યારથી ગાયનું દૂધ બીજા નંબરે ગણાવા માંડ્યું છે.

           આપણે વિજ્ઞાનના આધારે વાત કરીએ તો શરીરને ઉપયોગી એવા દૂધમાંના તત્વોની ગણતરી કરીએ તો ભેંશના દૂધમા ચરબીનું પ્રમાણ થોડું વધારે છે તે ખરું, પણ તે કેવા સ્વરૂપે છે તે જાણવાની દરકાર લીધી છે ક્યારેય ? ભેંશના દૂધની ચરબી પચવામાં ખૂબજ કઠીન હોવા ઉપરાંત માનવશરીરમાં મેદના સ્વરૂપે અને રક્તવાહિનીઓમાં ચરબી રૂપે એકત્રિત થાય છે, જે હાર્ટએટેક અને બ્લડપ્રેસર જેવા રોગને નોતરે છે. ગાયના દૂધમાં ચરબીનું પ્રમાણ ભલે થોડું ઓછું હોય પણ આ ચરબી માનવ શરીરમાં મેદ નહીં, રક્ત બનાવનારી છે.

             એવું જ, ભેંશના દૂધ માહ્યલું પ્રોટીન પણ પચવામાં કાઠું છે. જરા નીરિક્ષણ કરજો, ભેંશનું દૂધ એકદમ સફેદ અને ગાયનું દૂધ પીળાશ પડતું કેમ? કારણ કે વિટામીન ‘એ’ જેમાંથી બને છે તેવા ‘કેરોટીન’ નું પ્રમાણ ગાયના દૂધમાં ઘણું ઊંચું હોય છે.જ્યારે ભેંશના દૂધમાં સાવ સામાન્ય છે. આ ઉપરાંત આયોડીન અને કેટલાય પ્રજીવકો તેમજ તૈલી તેજાબો જે ગાયના દૂધમાં વધુ હોય છે તે ભેંશના દૂધમાં ખાસ જોવા મળતા નથી.

    [2] બન્નેના સ્વભાવ અને આદતો = ભેંશ એ કાળા રંગનું, જાડી ચામડી વાળું, એદી સ્વભાવનું જાનવર છે. ભેંશોનો કુદરતી કાળો રંગ વાતાવરણમાંથી ગરમી વધારે પકડે છે. જ્યારે ગાયોમાં મોટાભાગે અન્ય રંગના પશુઓ હોવાથી આ તકલીફ રહેતી નથી. ગાય અને ભેંશ બન્ને અલગ સ્વભાવના, જુદી તાસીરના અને વિશિષ્ટ રૂપ-બાંધાના જાનવરો છે. બન્નેની તાસીર જાણવા ક્યારેક આ પ્રયોગ કરી જોજો !

    [અ] ગાય અને ભેંશ-બન્નેના તાજા જન્મેલા-બેચાર વાહાના બચ્ચાને પૂરતું ધાવણ ધવરાવી છુટ્ટા મૂકી જોજો ! બન્નેના બચ્ચાં-ઊંઘે છે, કુદે છે. કે બેસી જાય છે- શું કરે છે તે નિરખજો.

    [બ] એક બાજુ દસ દૂજણી ગાયોનું ટોળું અને બીજી બાજુ દસ દૂજણી ભીંસોનું ખાડું-એમ જાનવરોને ઊભા રાખી બન્નેના ધાવણાં બચડાં ને છૂટા કરી નીરખજો કે કોના બચ્ચાં પોતાની મા ને તરત શોધી વાળે છે ?

    [ક] ગાય અને ભેંશ બન્ને પોતાના નાના બચ્ચાને પાસે રાખી બેઠા હોય ત્યારે તે ઓચિંતાના ભડકી જાય તેવું વર્તન કરજો, અને પછી નિરખજો કે કોણે એના બચ્ચાનેખુંદી નાખ્યું ?

    [ડ] તમે બરાબર માર્ક કરજો કે આપણે ગાય કે ભેંશને ચારો નીરવા ગયા હોઇએ અને અજાણથી જાનવર આપણા પગ ઉપર એનો પગ મૂકી દે ત્યારે આપણે ડચકારો કરી આપણો પગ છૂટો કરાવવા “પગ…..પગ…” બોલી તેને એનો પગ આપણા પગ ઉપરથી ખેસવી લે તેવો આદેશ આપીએ તો બેમાથી કોણ જલ્દી પોતાનો પગ ખેસવી લે છે ?

              અરે ! તમે બરાબરનું નીરિક્ષણ કરશો તો માલુમ પડ્યાવિના નહીં રહે કે ભેંશના પેશાબનું પાટોડું ભર્યું હોય ત્યાં મચ્છરોને કેવી મજા પડી જતી હોય છે ! જ્યારે ગૌમુત્રનો તો વાતાવરણ જંતુરહિત કરવામાટે છંટકોરો દેવાય ! અરે, ગૌમુત્રતો ખેતીપાકોના વિકાસ અને વર્ધનના હોર્મોંસ તરીકે અને જીવાતોના ત્રાસમાંથી રાહત આપનાર ‘પાકસંરક્ષક’ તરીકે વપરાય છે. હમણાના છેલ્લા નૂતન અભિગમ મુજબ ગૌમુત્રનો અર્ક તો માનવ આરોગ્ય અર્થે કેટલાય દર્દોમાં રાહત બક્ષનારો હોવાનું પણ સાબિત થયું છે.એટલે એનો વપરાશ આરોગ્ય રક્ષણના ક્ષેત્રે પણ ખુબ વધ્યો છે.

             એટલે ગાય અને ભેંશ બન્ને અલગ સ્વભાવના અને જુદી તાસીરના હોઇ, તેની અસર તેના દૂધમાં અને આપણી સાથેના વ્યવહારમાં આવ્યા વિના રહેતી નથી. ભેંશ સાથેના સહવાસ અને એના દૂધ વપરાશથી આપણામાં પણ જાડીબુધ્ધી, એદીપણું અને રોગ સામે જૂકીપડે તેવી શારીરિક નબળાઇ જો ન આવે તો તો ભેંશનાં દૂધનું માતમ જ મરી પરવાર્યું ગણાયને ? “અન્ન તેવો ઓડકાર” – ખાધી હોય ડુંગળી અને કેસર કેરીના સ્વાદ જેવો ઓડકાર થોડો આવે ? એદી અને કમઅક્કલ ભેંશનું દૂધ ખાઇએ અને દોડવા-તરવાકે બુધ્ધિ ચાતૂર્યની સ્પર્ધામાં આગળ નીકળી જવાના સ્વપ્ના સેવીએ-સાચા પડે કદી ?

    નક્કર પૂરાવો = ગાયકવાડ સરકારના વછેરા દોડવાની રેસમાં લગાતાર ત્રણ-ચાર વરસથી પાછળ રહેવા લાગ્યા. આવું બનવાનું કારણ શું હોઇ શકે તે શોધવા પરદેશથી અશ્વપાલન નિષ્ણાંતોને બોલાવાયા.નિષ્ણાંતોએ આવી, ઘોડાઓને કેવા પ્રકારનો ચારો અને કેવી જાતની ચંદણી અપાય છે, એના રહેણાંકની સુવિધા ક્યા પ્રકારની છે, તેને કેવી રીતની તાલીમ અપાઇ રહી છે વગેરે બાબતોની જીણવટભરી  તપાસ કર્યા પછી પણ અશ્વો રેસમાં ક્યા કારણસર નબળા પૂરવાર થઇ રહ્યા છે તે ન શોધી શક્યા તેનો વસવસો હ્દયમાં ધરી, નિરાશ થઇ, ગેસ્ટહાઉસનાપગથિયાં ઊતરી રહ્યા હતા ત્યાં ઓચિંતાના એક મોટા હોજમાં કેટલાક પશૂઓને પાણીમાં પડીરહી ઊંઘતા ભાળ્યાં. “ આ ક્યા જાનવરો છે ? અને એ બધા આ કાદવ-પાણીમાં શું કરે છે ?” એવું પૂછતાં જવાબ અપાયો કે “ આ બધી ભેંશો છે, અને એ કાદવ-પાણીમાં સ્નાન સાથે આરામ અને ઊંઘ લઇ રહી છે,” ફરી પ્રશ્ન પૂછાયો કે “ ભેંશો શું કરે ?”  “ભેંશો દૂધ કરે,અને એ દૂધ અમે આ વછેરાને પીવરાવીએ છીએ.” જવાબ સાંભળી કહે “ હં….હં..! પહેલીથી જ પીવરાવો છો ?” “ ના, પહેલા ગાયોનું દૂધ પાવામાં આવતું, હમણાં છેલ્લા પાંચેક વરસથીગાયોનું દૂધ બંધ કરી આ ભેંશોનું દૂધ પાવાનું શરુ કર્યું છે !” જવાબ સાંભળી નિષ્ણાંતો હરખાઇ ઊઠ્યા અને બોલી પડ્યા-“ બસ ! તમારા વછેરા દોડવાની હરિફાઇમાં પાછળ રહેવા માંડ્યા તેનું એકમાત્ર કારણ આ એદી સ્વભાવના જાનવરો [ભેંશો]નું દૂધ તેને પીવરાવવા માંડ્યું એજ છે !”

    [3] બન્નેના વંશ-વેલાની ઉપયોગિતા = ભેંશને જો પાડી જન્મે તો તો ભવિષ્યે ભેંશ થાય. પણ પાડો જન્મે તો ? આપણો દેશ વિષુવવ્રતની નજીક આવેલો હોઇ ગરમી ખુબ પડે છે. આ માથું ફાડી નાખે એવા ધોમ ધખતા તાપમાં ગાયોના ગોધલા સાંતી-ગાડે જુતી રમરમાટી બોલાવી શકે – ભેંશ જેવા કાળા રંગના અને જાડી ચામડીવાળા પાડાઓનું એ કામ નહીં ! અરે ! હાંફી જઇ, હાથ જીભ કાઢી બેસી પડે મિત્રો !

             પછી તો તેને માટેનો એક જ રસ્તો કતલખાને જઇ કપાઇ મરવાનો બચ્યો હોય છે. જ્યારે ગાયના બચ્ચા ‘બળદ’નું આપણા દેશના અર્થતંત્રમાં રહેલું સ્થાન જાણ્યું છે ? આ દેશની ૬૮ ટકા વસ્તીનો  રોટલો જેનાપર નિર્ભર છે તેવી આ દેશની ‘ખેતી’ ને ચલાવનારું બળ ‘બળદ’  છે. દિવસે દિવસે નાનાનાના ટુકડાઓમાં વહેંચાયે જતી જમીનોમાં અને ઇંધણની અપ્રાપ્યતાની સીમાએ ધપ્યે જતી સ્થિતિમાં, બીજી કોઇ ખેતીમાં વપરાતી બળદ સિવાયની એનર્જી ખરી કે જે ખેતીમાંથી જ નીકળતી આડપેદાશ પર નભી રહીને, માત્ર પેટવડિયા પગારથી ખેતીને ચલાવી રહી હોય ! હોય તો બતાવો !


    સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

  • એક પગ ગુમાવનાર અવકાશયાત્રી બની શકે?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    કોઈ વ્યક્તિની શારિરીક કે માનસિક ક્ષતિને મજાક બનાવવી સભ્યતાનું લક્ષણ નથી, એ પ્રજાકીય રીતે અપરિપકવતાની નિશાની છે, પણ આપણે ત્યાં એમ કરવાની પ્રથા સામાન્ય છે. ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ‘ડાઉન્‍સ સિન્‍ડ્રોમ’ ધરાવતા ‘કમાભાઈ’ નામની વ્યક્તિનો ઉપયોગ લોકોના મનોરંજન થકી પ્રચાર માટે કરવો એ આપણા જાહેર જીવનમાંથી સંવેદનાનો કઈ હદે લોપ થયો છે એનું સૂચક છે. ‘કાણિયો’, ‘લંગડો’, ‘ઠૂંઠો’, ‘બાડો’, ‘આંધળો’, બહેરો’ જેવા શબ્દો હજી છૂટથી ચોક્કસ પ્રકારની શારિરીક ક્ષતિઓ ધરાવતી વ્યક્તિ માટે વપરાતાં જોવા મળે છે.

    આવા માહોલમાં એક સમાચાર ખરેખર આનંદ પમાડનારા છે, ભલે એ આપણા દેશના નથી. ‘યુરોપિયન સ્પેસ એજન્‍સી‘ (ઈ.એસ.એ.) દ્વારા તેના અવકાશી કાર્યક્રમ માટે અવકાશયાત્રીઓની ભરતી કરવામાં આવી. આમાં જહોન મેક્ફૉલ નામના ૪૧ વર્ષીય માણસની પસંદગી થઈ એ બાબત વિશિષ્ટ છે. મેક્ફૉલ વિકલાંગ છે. મોટર સાઈકલના એક અકસ્માતમાં માત્ર ૧૯ વર્ષની વયે તેમણે પોતાનો જમણો પગ ગુમાવ્યો હતો. અલબત્ત, એમ થયા પછી હિંમત હારીને તેઓ બેસી રહ્યા ન હતા. ૨૦૦૮ની બીજિંગ પેરાલિમ્પિક રમતોમાં તેમણે દોડવીર તરીકે યુ.કે.નું પ્રતિનિધિત્વ કર્યું હતું અને કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. હવે તેમની પસંદગી અવકાશયાત્રા માટે થવામાં તેમની વિકલાંગતાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

    તસવીર નેટ પરથી સાભાર

    અવકાશયાત્રાને હજી ઘણી વાર છે, અને આ દાયકાની આખર સુધીમાં ઈ.એસ.એ. દ્વારા ચંદ્ર પર પોતાના પહેલવહેલા અવકાશયાત્રીને મોકલવામાં આવશે. આ માટે ઈ.એસ.એ. પાસે લાયક ઉમેદવારોની બાવીસેક હજાર અરજીઓ આવી હતી. એ પૈકી દ્વિતીય તબક્કામાં ૧,૩૬૧ અરજીઓની પસંદગી થઈ હતી, જેમાં કુલ ૨૫૭ વિકલાંગ ઉમેદવારો પૈકીના ૨૭ની અરજીનો સમાવેશ થતો હતો. શરીરના નીચલા અંગની ચોક્કસ પ્રકારની ક્ષતિઓ હોય એવા ઉમેદવારની અરજીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જેમ કે, પગનો નીચલો હિસ્સો ન હોય, જન્મથી જ યા કોઈ અકસ્માતને કારણે અંગ ટૂંકાં હોય અથવા ઉમેદવારની ઊંચાઈ ૧૩૦ સે.મી.થી ઓછી હોય.

    મેક્ફૉલ હાલ તબીબ તરીકે કાર્યરત છે. તેમની પસંદગી થઈ છે, પણ હજી તેમણે વિવિધ પ્રકારની તાલીમમાંથી પસાર થવું પડશે. માનસિક, વ્યાવસાયિક, જાણકારીની રીતે તેમજ ટેક્નિકલ રીતે અવકાશયાત્રી બનવા માટે લાયકાત ધરાવતા હોય, પણ પ્રવર્તમાન યાંત્રિક વ્યવસ્થાને કારણે શારિરીક ક્ષતિને લઈને અવકાશયાત્રી તરીકે પસંદગી ન પામી શકે એવા ઉમેદવારો માટે ઈ.એસ.એ. દ્વારા ‘પેરાસ્ટ્રોનોટ્સ’ જેવો શબ્દપ્રયોગ પ્રયોજવામાં આવ્યો છે. હજી ઈ.એસ.એ. પણ વિકલાંગ અવકાશયાત્રીને મોકલવા માટેની શક્યતાઓ પર કામ કરી રહી છે.

    મેક્ફૉલે એક મુલાકાતમાં જણાવ્યા અનુસાર પોતાના પગની વિકલાંગતાને લઈને અવકાશયાત્રી બની શકવાની શક્યતા અંગે પોતે કદી વિચાર સુદ્ધાં કર્યો ન હતો. સમસ્યાઓને ઓળખવાના, ઊકેલવાના અને અવરોધોને ઓળંગવાના પોતાના કૌશલ્યનો ઉપયોગ અન્ય સામાન્ય લોકોની જેમ જ કરવા બાબતે પોતે અતિ ઉત્સાહિત છે. મેક્ફૉલે એમ પણ કહ્યું હતું કે અવકાશમાં વિકલાંગ વ્યક્તિને મોકલવાથી થતા વ્યવહારુ સવાલોના જવાબ મેળવવા માટે પોતે આતુર છે. અલબત્ત, હજી એ સોએ સો ટકા નક્કી નથી કે મેક્ફૉલ અવકાશમાં જશે જ, છતાં ઈ.એસ.એ. દ્વારા એમ કરવાના બનતા પ્રયાસો અવશ્ય કરવામાં આવશે એમ જણાવાયું છે. કારણ? ઈ.એસ.એ.દ્વારા અગાઉ પણ વિકલાંગોને અવકાશી કાર્યક્રમમાં ઉમેદવારી નોંધાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વિવિધતા અને સમાવેશકતા તરફની સમાજની અપેક્ષાઓ બદલાઈ છે. વિશિષ્ટ જરૂરિયાત ધરાવતી (વિકલાંગ) વ્યક્તિઓને આ કાર્યક્રમમાં સમાવવાનો અર્થ એ પણ છે કે તેમના અસાધારણ અનુભવમાંથી, મુશ્કેલ પરિસ્થિતિમાં અનુકૂલન સાધવાની તેમની ક્ષમતા અને દૃષ્ટિકોણ થકી સમાજને પણ લાભ થશે.

    સર્વસમાવેશકતાનો આ ખ્યાલ માનવીય ગૌરવને અનુરૂપ છે, અને ઈ.એસ.એ. પોતાના અવકાશી કાર્યક્રમ થકી તેનો અમલ કરવાની પહેલ દર્શાવે એ એક ઉમદા ચેષ્ટા છે. આપણે વિકલાંગને ‘દિવ્યાંગ’ નામ આપી દીધું, અને તેઓ ‘દિવ્ય’ શક્તિ ધરાવતા હોવાની સરકારી રાહે વાર્તા કરી, પણ ખરેખર તેમના ગૌરવ માટે કશું કરાયું ખરું? ગૌરવ તો દૂરની બાબત ગણાય, તેમની મૂળભૂત જરૂરિયાતને લક્ષમાં આખીને કશાં પગલાં લેવાયાં? ખેર, આ તો સરકારી નીતિની વાત થઈ, પણ એક સમાજ તરીકે, નાગરિક તરીકે આપણે તેમને સમાન ગણતા થયા ખરા? તેઓ હજી દયા, તિરસ્કાર અને મજાકને પાત્ર ગણાય છે. તેમને પડતી અગવડો એવી હોય છે કે અનુકંપા સિવાય બીજો ભાવ જ પેદા ન થાય!

    અસમાનતામાં પણ આપણે કેટકેટલું વૈવિધ્ય જાળવ્યું છે! પુરુષ-સ્ત્રી અસમાનતા, કોમ વચ્ચેની અસમાનતા, જ્ઞાતિ વચ્ચેની અસમાનતા, અમીર- ગરીબની અસમાનતા, કામની અસમાનતા અને આવી તો બીજી અનેક! અને આ અસમાનતાનો રોગ હવે બારમાસી બની રહ્યો છે. રાજકારણીઓ પ્રજાના મનમાં ઊંડે સુધી ઉતરેલા અસમાનતાનાં મૂળિયાંને નાબૂદ કરવાને બદલે ખાતર-પાણી પાઈ પાઈને બરાબર મજબૂત કરી રહ્યા છે.

    હજી ગટરસફાઈનું કામ ચોક્કસ જ્ઞાતિ પૂરતું જ મર્યાદિત છે અને તેમાં ફેરફાર સાવ ધીમી ગતિએ થઈ રહ્યો છે. એ પૂર્ણપણે નાબૂદ થાય એ પહેલાં કોને ખબર તે કેટલાયનો ભોગ લેશે!

    અલબત્ત, અસમાનતા કેવળ ભારતનો ઈજારો છે એમ નથી. વિશ્વભરમાં તે એક યા બીજે સ્વરૂપે વ્યાપેલી છે. પણ આપણા સાંસ્કૃતિક મિથ્યાગૌરવની દુહાઈઓ વચ્ચે આવી અસમાનતા વિરોધાભાસ પેદા કરે છે. આવા માહોલમાં મેક્ફૉલની પસંદગી કરવાનું પગલું અભિનંદનીય છે. આ પગલું એક નવી કેડી કંડારવામાં નિમિત્ત બની રહેશે, જેમાં માનવગૌરવનો વિજય હશે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૮-૧૨–૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • એક પારસી | પરદેશી લેખક

    નિત નવા વંટોળ

    પ્રીતિ સેનગુપ્તા

    નવલકથાનું સ્વરૂપ ક્ષીણ થવા બેઠું છે – એમ માનનારાંએ જરા વધારે વિચાર કરવો જોઈએ. વૈવિધ્યપૂર્ણ માનવ-જીવનના અવનવા અનુભવોનું સાચું પ્રતિબિંબ નવલકથામાં પડતું રહેતું હોય છે. આધુનિક કાળમાં સતત થતાં રહેતાં લોકોનાં સ્થળાંતર, સંમિશ્રણ, સામાજિક અને સાંસ્કૃતિક સંઘર્ષણ વગેરે કારણો નવલકથાને અનેકવિધ વિષયોની શક્યતા તથા અખૂટ
    સર્જન-બળ પૂરાં પાડતાં જાય છે.

    વિદેશોમાં વસતાં, પોતપોતાની માતૃભાષામાં નહીં પણ અંગ્રેજી જેવી આંતરરાષ્ટ્રીય ભાષામાં લખતાં, અને નામના પામતાં ભારતીય લેખકોની સંખ્યા વર્ષે વર્ષે વધતી જતી દેખાય છે. એક તાજા જેવો દાખલો લઈએ તો રોહિન્ટન મિસ્ત્રીનું નામ લેવું પડે. મુંબઈમાં ૧૯૫૨માં જન્મેલા એ પારસી યુવક ૧૯૭૫થી કૅનૅડામાં વસ્યા છે. સૌથી પહેલાં બહાર પડેલો એમનો ટૂંકી વાતીઓનો સંગ્રહ ઘણી પ્રશંસા પામેલો. લગભગ તરત ૧૯૯૧માં છપાઈ આવેલી નવલ “સચ અ લૉન્ગ જર્ની”ને મોટાં મોટાં ઈનામ મળેલાં. ઈગ્લંડના પ્રખ્યાત બૂકર પ્રાઈઝ માટે પણ આ નવલની નોંધણી થયેલી.

    ૧૯૯૬માં એમનું ત્રીજું પુસ્તક બહાર પડ્યું. છસોથી વધારે પાનાંનો સ્થુળકાય ગ્રંથ, ને એ હતી તો એક નવલ જ – “અ ફાઈન બૅલૅન્સ”, ને એને કૉંમનવૅલ્થ રાઈટર્સ પ્રાઈઝ મળ્યું. જોકે એ પહેલાંથી જ એને વિષેનાં વિવેચન છાપાં અને સામયિકોમાં પ્રગટ થતાં ગયેલાં, તેથી એના કથાનક વિષે, તેમજ પુસ્તકના સર્વવ્યાપી સૂરની બાબતે જાણ થઈ ગયેલી. લેખક ખૂબ સંવેદનશીલ છે, બધાં જ પાત્રો એમનો ખૂબ સ્નેહ પામે છે, પણ આખી વાત છે દેશના લોકોનાં જીવનની, કારમી વાસ્તવિકતાની. રાજકારણીય ઉથલપાથલ, સામાજિક વેરઝેર, આર્થિક મુશ્કેલીઓ વગેરે જેવા વિષયોનાં સૂત્ર અંદર અંદર ગુંથાતાં રહે છે, ગુંચવાતાં રહે છે. એક પણ પાત્ર એમાંથી બચતું નથી.

    દરેક પાત્ર એવું કમભાગી હોય છે, અને સાધારણ સુખથી પણ એવું વંચિત હોય છે, કે આ પુસ્તકનું વાંચન અત્યંત કઠિન બને છે. વાચકના હૃદયને દુ:ખ પહોંચ્યા જ ડરે છે. હું તો આવી કૃતિઓ, કે જેમાં જીવન ખૂબ જ દુ:ખી હોય, વાંચી જ નથી શકતી. બલ્કે, એમને નહીં વાંચવાનો આગ્રહ રાખું છું. વિવેચનો પરથી કથાનકનો ખ્યાલ મળી ગયેલો.

    આખા પુસ્તક પર હતાશાનો ભાવ છવાયેલો રહે છે, અને ક્યારેય ના રુઝાય એવા નૈતિક આઘાતોનું એમાં નિરુપણ છે. મુખ્ય પાત્રોનાં જીવનની પશ્ચાદ્‌ ભૂમિકા ઘણી વિગતે વર્ણવાઈ છે, પણ એમનાં સાંપ્રત જીવન અંગેની લાગણીઓ જાણે સંતાયેલી રહી જાય છે. પુસ્તકનું શીર્ષક સાર્થક નથી બનતું, કારણકે લેખન તથા નિરુપણમાં સમતુલન હંમેશાં સચવાતું નથી.


    સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે

  • મીઠાનો અડકાર

    સોરઠની સોડમ

    ડૉ. દિનેશ વૈશ્નવ

    મારા પપ્પાએ ૧૯૩૨માં મુંબઈની “ગ્રાન્ડ મેડીકલ કોલેજ” માંથી દાક્તર બની પે’લી નોકરી જૂનાગઢના સરકારી દવાખાનામાં બેએક મહિના માસિક રૂ.૧૨ના પગારે સિવિલ સર્જન ડો. માર્ટિન હેઠળ શરૂ કરી. પછી ઈ માસિક રૂ.૨૦ના વેતને ગાયકવાડ રાજે છોટાઉદેપુરમાં નવા જ શરૂ કરેલ દવાખાનામાં પે’લા જ દાક્તર તરીકે જોડાયા. પાછા એકદોઢ વરસે જૂનાગઢ આવ્યા ને ઈ રાજના ગામડાઓમાં બદલીની નોકરી લીધી કારણકે એમાં ગામડાઓમાં ખાનગી પ્રેક્ટિસ કરવાની છૂટ હતી ને આમ પગાર ઉપરાંત આવક વધે. પરિણામે મારું બાળપણ માળીયા હાટીના, સનખડા, દેલવાડા, મેંદરડા, ચોરવાડ, વિસાવદર, વ. ગામડાઓમાં ગ્યું ને છેલ્લે ઈ ચૂડા (ભેસાણ) નોકરી કરીને સરકારી નોકરીએથી નિવૃત થ્યા.

    મેંદરડામાં એને ૧૯૫૫માં ડો. નિર્મળ પાસેથી ચાર્જ લીધેલ ને નિર્મળ સાહેબે ડો. વેણીલાલ ત્રયંબકરામ ઓઝા પાસેથી ભારતની આઝાદી વખતે. ઈ વખતે વેણીભાઈએ નિવૃત્તિ લીધી ને એને મેંદરડામાં જ નિવૃત જીવન વ્યતીત કર્યું. સદનસીબે વેણીભાઈએ ને એના પરિવારે અમને એના જ માન્યાં.વધુમાં વેણીભાઈના દીકરા રસિકભાઈ જયારે દાક્તર બનીને ૧૯૫૭માં મેંદરડા આવ્યા ત્યારે એને પપ્પાના હાથ નીચે તાલીમ મેળવીને પોતાનું ખાનગી દવાખાનું ખોલ્યું. એને આજીવન પપ્પાને “બાપુજી” તરીકે જ અપનાવ્યા. હું રસિક્ભાઈને છેલ્લે ૨૦૦૯માં મેંદરડા મળવા ગ્યોતો ને પછી ઈ થોડા જ વરસોમાં ૮૪ વરસે દિવંગત થ્યા. આ કે’વાનું કારણ એટલું જ કે વેણીભાઈ અને અમારા પરિવાર વચ્ચે સબંધ અડીખમ રયો કારણ કે મધુવંતીના ઉપલા વાસે કનડાના ડુંગરમાં પાણી પીધેલ સાવજુંનાં સેંજળ પીને અમે ઈ બાંધ્યોતો.

    હવે વેણીભાઈ એટલે જૂનો જોગીંદર ને મારા પપ્પાની જેમ વાત્યુંનો ખજાનો એટલે એની બેઠક લગભગ રોજ રાતના અમારે ઘેર હોય. એમાં એને ૧૯૫૬ના શિયાળાની રાતે મેંદરડા પાસે અણિયાળા ગામના બેએક પેઢીથી આર્થિક સ્થિતિએ ઘસાઈ ગે’લ માણસુરભાઈ આયરની વાત એની અદકી અદાએ માય મુઠીવળતું મોણ નાખીને માંડી કે જે આજ મને અમારા યુ.સ.ના શિયાળાની રાતે અનાયસે યાદ આવી એટલે થ્યું કે હું પણ ઈ જ વાત માંડું..

    તો ઘણા કાઠીયાવાડીયુંને ખબર હશે કે મેંદરડા તાલુકામાં મેંદરડા પાસેનાં પંખીના માળા જેવાં ગામોમાં માનપૂર, નાજાપુર, આલીધ્રા, ગંગેડી, સમઢીયાળા, બરવાળા, અણિયાળા, ચીરોડા, ગીર ખોરાસા, લુશાળા, બગડુ, દાત્રાણા, વ. આવે. પણ આ બધામાં અણિયાળા થોડુંક ઈ રીતે તરી આવે કે એમાં વસ્તી કડવા પટેલું જેટલી જ આયરુંની ને આ સૌ બબેચારચાર વીઘા ખેડાઉ જમીનના ખાધેપીધે સુખી મલિક. ત્યારે ૧૯૧૦ના દાયકે અણિયાળા ગામના નગરશેઠ શરાફી બાબુભાઇ રાયચંદ. બાબુભાઇ ને એનો પરિવાર પણ ગામમાં દૂધમાં શાકર ઓગળે એમ ઓગળીને રે’તો. શેઠ નરસા વરસે ગામના ખેડુઓને બિનવ્યાજે પૈસા ધીરતા ને સબળી સાલમાં જરૂરે ફુલતા જમીન કે એક કડલા કે કાંબીની થાપણે મોટી રકમ ધીરતા. જો ખેડુ મોં બોલી તિથિએ પૈસા પાછા ન દઈ સકે તો ઉઘરાણી પણ ઈ વાણિયાઈ મીઠપથી ભાગ્યે જ કરતા

    વીંજણે પલાણેલ વખતને જાતાં ક્યાં વાર લાગે છ એટલે ૧૯૧૦ના પાછોત્રે દાયકે રાયચંદ શેઠના એકનાએક દીકરા ધનસુખનાં લગન ચીરોડામાં સુખી વણિક પરિવારમાં લેવાણાં. થાવા કાળને ને લગનને મહિના દી’ની વાર હતી યાં ધનસુખને ઘરના છાણાંના ટીંબેથી કાળોતરો આભડી ગ્યો ને ઈવડો ઈ યાંનેયાં મોઢેથી ફીણના ડૂચા કાઢવા મંડ્યો. પછી તો ઈ એને બઠો કરવા ભુવા ધુણાવ્યા, ડાકલાં વગડાવ્યાં, દાણા પડાવ્યા, છગન મા’રાજે હજરત જોયું, દુઘાબાપાએ ધનસુખના કાનેથી ઝેર ચૂસ્યું, પાટલે ચોપાટની કાંકરી મૂકીને વડદાદાના મૃતાત્માને બોલાવ્યો એમ ઘણુંઘણું કર્યું પણ છેલ્લે તો મીંઢોળ બાંધેલ ધનસસુખને અગનના ખોળે જ મુકવો પડ્યો.

    આ માઠા વાવડ અણિયાળામાં જ નહીં પણ ઈ મલકમાં ઘોડાપૂરે પુગ્યા ને ગામેગામે ગોકીરો થઇ ગ્યો. પછી તો આ ક્લોયા મરણે રાયચંદ શેઠ આગળ પાંચના, દસના, પંદરના એમ ટોળાં મોં ઢાંકણે લોકીએ આવે. હવે ઈ વખતના રિવાજે જે લોકીએ આવે ઈ વળતાં ગામના ચોરે રોકાય ને જો ઈ ટાણે ભાતનો, રોંઢાનો કે વાળુનો ટેમ હોય તો ચોરે બેઠેલા ગામના સૌ બા’ર ગામના મેં’મામાનુંને પોતપોતાને ઘેર અજીઠા કરાવે. એમાં બીજેત્રીજે દી’ માણસુરભાઈ આયર હોત અણીયાના છસાત જણુ ચોરે બેઠાતા ને લોકી કરીને બા’રગામના દસબાર જણા ભાતના ટાણે ચોરે રોકાણા એટલે ગામના સૌએ એકબે મેં’માનને ઘેર લઇ જાવાનું નક્કી કરી લીધું ને એમાં નબળી સ્થિતિના માણસુરભાઈ પણ ભળ્યા. પણ ચોરો સમજુ એટલે બાકીનામાંથી બેત્રણ જણાએ કીધું, માણસુરભાઈ, આજ અમારું માન ને મન રાખો ને નોતરવાનું રેવા દયો. આજ તો અમેં પૂરતા છીંયેં ને મેમાનું પણ ક્યાં જાજા છે ને દીના ક્યાં દકાળ છે, કાલપરમ દીજાજા મેંમાનું આવે તીંયેં મારા બાપ નોતરજો.” પણ માણસુરભાઈ એકના બે ન થ્યા ને એને એક મેં’માનનું કાંડુ પકડ્યું ને એને ભાતે આવવાની તાણ કરી.

    આ મેં’માનને માણસુરભાઈની પરિસ્થિતિની ખબર ન જ હોય ઈ સ્વાભાવિક હતું એટલે ઈ માણસુરભાઈ ભેગા ભાતે એને ઘેર ગ્યા. ધણશેરી માંથી ઘેર જાતાં રસ્તામાં બેએક વાત કરતાં ખબર પડી કે ઈ મેં’માન ચીરોડાના કાપડના વેપારી લખુભાઈ હતા ને એને સંતાનોમાં એક્નીએક દિકરી હતી તો માણસુરભાઈને વીસેક વરસનો કાનો એકનોએક દીકરો હતો ને સાતથી જાજી પેઢીથી પરિવાર અણિયાળામાં જ છે. ઘેર પૂગતાં આયરે ઓસરીએથી સાદ દીધો, આયરાણી હાંભળ્યું, ચીરોડાના મેંમાન ભાતે આવ્યા છ.” ઘરના રસોડેથી આયરાણીએ એના હૈયા લગી લાજના ઘૂમટે મેં’માનને વિવેકથી આવકારતાં ઓસરીમાં બે પાટલા ને ઢીંચણિયાં ઢાળ્યાં ને પાતર ને પાણીના કળસા મુકયા. થોડીકવારમાં લખુભાઇ ને માણસુરભાઈ ભાણે બેઠા એટલે આયરાણીએ પડીયામાંથી બેય પાતરમાં અગારનું ચપટીચપટી ગાંગડી મીઠું મૂક્યું. મેં’માન રોટલા, શાક, છાસની રાહમાં હતા પણ માણસુરભાઈએ કીધું, જયમાતાજી, હાલો બેય ભાયું આજ હારે ભાત ખાયેં.” ખાતાંખાતાં માણસુરભાઈએ ખુલાસો કર્યો કે કાનો ભગાબાપાના ખેતરે સાતીએ ગ્યોતો ને આયરને પોતાની ફુંમતુંએ જમીન કે ઢોરઢાંખર નો’તાં. લખુભાઇએ પણ એમ પોતાની નાનીમોટી વાત્યું કરી પણ એનામાં વય કરતાં અક્કલ બમણી એટલે એને આયરની નબળી પરિસ્થિતિનું એંધાણ થઇ ગ્યું. પછી તો એને કણી મીઠું ને બેચાર ઘૂંટડા પાણી પીને ગળા લગી ધરવણના અડકારું ખાધા ને છેલ્લે ઈ યજમાનની રજા લઈ ને એને ઘેર જાવા નીકળ્યા.

    હવે દુઃખનું ઓસડ દાડા એમ પાંચછ મહિને અણિયાળા ને આજુબાજુના મલકમાં સૌના માયલે ધનસુખની ચિતા ઠરી એટલે પોતપોતાને ધંધે વળગ્યા, રાયચંદ શેઠ પણ દુકાનના થડે ગોઠવાણા, અણિયાળામાં સુરજદાદો પણ દશા બદલીને પુરવે ઉગવા મંડયો ને ગામ માથેથી કમુરતાં ઉતર્યાં એમ લાગ્યું. એટલે સારું સકન જોઈને લખુભાઈ ચીરોડાથી રાયચંદ શેઠને મળવા અણિયાળા આવ્યા. શેઠે પણ એની મેં’માનગતી હૈડાના હેતે કરી ને રસોડે લસલસતી સુખડીનું બકડીયું ચડયું ને મગનાં આધારણ ઓરાણાં. બેય જણા વાતે વળગ્યા, ગામમાં આંટો દીધો ને ઘેર પાછા આવ્યા એટલે રસોડેથી સાદ દીધો એટલે ભરેભાણે બેઠા. પછી બેય વાણિયા જમીજુઠીને સોપારી કાતરતાતા તીંયે લખુભાઈએ શેઠને કીધું:

    “મોટાભાઈ, તમને તો ખબર જ છે કે જો વિધાતાના લેખ સવળા પડ્યા હોત તો મારી લક્ષ્મી ને તમારા ધનસુખકુમારના નાતે આપણે બેય આજ વેવાઈ હોત પણ ધાર્યું ધરણીધરનું થાય છ. હવે ભાઈ મને એક વિચાર ઉગ્યો છ કે જો તમે મંજુરી દયો તો લક્ષ્મીને મારે અણિયાળામાં દેવી છ કારણ કે આ ગામ ખાનદાન, સંતોષી ને હેતાળ છે.” એટલે રાયચંદ શેઠે ઘડીયે વિચાર્યાવીના કીધું:

    લખુભાઈ મારી મંજુરી છે એટલું નહીં પણ મારે ઘેર લક્ષ્મી વહુ બનીને આવવાની હતી ઈ પેલાંની ધનસુખ વેરે વેવિશાળ થાતાં ઈ મારી દીકરી બની ગઈ છે ને એટલે મારી એક શરત છે જો તમે મંજુર રાખતો. મારી દીકરી લક્ષમીનો કરિયાવર હું પુરીસ.” એટલે લખુભાઇએ કીધું:

    “ભાઈ, તમે તો આ ગામના જણેજણને જાણો છ તો કોક સારો મુરતિયો ચીંધો એટલે કરિયાવર પુરી સકો.” શેઠે અચકાતાં કીધું:

    “જે મારા ધ્યાનમાં છે ઈ ખોયડે માં લક્ષ્મીની કૃપા નથી, ઈ આપણી નાતનુંયે નથી પણ ઈ ખોયડે માં સરસ્વતીનો વાસ છે એટલે યાં સજ્જનતા, સંસકાર, ખાનદાની, મીઠપ અને ઉનો આવકાર ભારોભાર ભર્યાં છ ને ઈ છે અભણ પણ ઢગલો કોઠાસુજ વાળા માણસુરભાઈ આયરનું ખોયડું ને ઈ ખોયડાનો વારસદાર કાનો મને લક્ષ્મી માટે યોગ્ય મુરતિયો લાગે છ. બીજું કે માણસુરભાઈનું આ ગામમાં નાક, નામ અને માન પણ ઉંચેરાં છે ને એને કેટલાય કટમ્બને વખતે વ્યાવાહારિક સલાહ દઈને ઉગાર્યાં છ.” એટલે લખુભાઇએ કીધું:

    “મોટા ભાઈ, તમે તો મારા બોલ મારે કંઠેથી કાઢી લીધા ને આમ પણ જ્યાં સરસ્વતી હોય યાં લક્ષ્મી આજ નહીંને કાલ પણ આવે જ બાકી જ્યાં નરી લક્ષ્મી જ હોય યાં સરસ્વતી આવે કે ન પણ આવે.” પછી એને ઈ આયરની ઓસરીએ ગાંગડી મીઠાના ભાતનું કીધું કે જેમાં એને પણ વિવેક, પ્રેમ, સજ્જનતા, ખાનદાની ને સંસકારનો પછેડીફાડ મે (વરસાદ) વરસતો જોયોતો. રાયચંદ શેઠે તરત જ કીધું:

    “તો સારા કામનાં તો સદાય સકન. હાલો બેય ભાયું માણસુરભાઈના ખોયડે.” પછી માણસુરભાઈને ઈ બેય વાણિયા મળ્યા ને યાનેયાં કંકુના ચાંદલે શાકારના પડા બંધાણા, એકાબીજાને દેવાણા ને કાના ને લક્ષ્મીના ચાંદલા થ્યા. ઈ સાલની અખાત્રીજે કાના ને લક્ષ્મીનાં લગન લેવાણાં, ધામેધૂમે લગન થ્યાં, જાડી જાનને ગળાના સમ દઈને લખુભાઈ ને રાયચંદ શેઠે પાંચપાંચ દી’ સામિયાણામાં ઠાઠે રોકી ને પે’લા ટંકથી જાજી બીજા ટંકે મેં’માનગતી કરી. છઠે દી’ લક્ષ્મીએ ઘરના મંદિરે થાપા પાડ્યા, હૈયા લગી લાજના ઘૂમટે ગાડે બેઠી, ગાડાનાં પૈડાં સીંચાણા, માં રામણદિવડો જાલીને ગાડા પછવાડે ગામના ગોંદરા લગી ગઈ ને વાજતેગાજતે જાન ઉઘલાવી પણ જાણે “કાળજાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો…” ઈ લાગણીએ સૌ માંડવીયા પાછા ફર્યા. પછી તો સામે અઠવાડિયે ચાર ગાડાની – બે રાયચંદ શેઠનાં ને બે લખુભાઇનાં – હેડ લક્ષ્મીનો કરિયાવર લઈને માણસુરભાઈની ફળીમાં ઉભી. રીવાજ મુજબ વેવાઇયું વચ્ચે “અટઅટલું ન હોય,” “અરે, અમારી હેસિયતે નથી ને અમે કાંઈ નથી કરી સક્યા” એમ હા-ના થઇ પણ છેલ્લે ખાલી ગાડાં પાછાં વળ્યાં.

    આયરના ખોયડે લાપસીનાં આધરણ મુકાણાં ને આમ લક્ષ્મીએ બે નહીં પણ ત્રણ પરિવારને જોડ્યા. લક્ષ્મી પણ સુકન્યા અને કુશળ ગૃહણી હતી ને કુંકાપગલી પણ નીકળી. જોતજોતામાં કાનાએ ફુલતું એમાંથી પડ્યકું ને એમાંથી બે વીઘા ખેડાઉ જમીન અણિયાળાની બરવાળા કોરની સીમમાં લીધી ને ફળીમાં ઢોરઢાંખર બાંધ્યા. આ કોર માણસુરભાઈ પણ માથે ફાળીયાને બદલે પાઘડી ને પછેડીને બદલે કિનખાબની ભેંટ બાંધીને ગામના ચોરે એની મૂછને તાવ દેતા બેસવા મંડ્યા. ટૂંકમાં, લક્ષ્મીએ માં સરસ્વતીસભર ખોયડે માં લક્ષ્મીને જોતજોતામાં પધરાવ્યાં.

    મેં તો આ છથી વધુ દાયકા પે’લાં વેણીભાઈએ કીધેલ ને મને જે આછુંપાતળું યાદ છે ઈ આધારે વાત માંડી પણ આ જ વાત પદ્મશ્રી ભીખુદાનભાઈ પણ એની મધઝરતી ચારણી જભાને “ઓહોને માથે બાચકું” કે’છ ને એના કે’વા મુજબ આજે પણ માણસુરભાઈની પછીની પેઢી અણિયાળામાં છે. મારી ઈચ્છા છે કે હવે જયારે પણ હું દેશ આવું ત્યારે અણિયાળામાં આ પરિવારને ગોતીને મળીશ ને એની સજ્જનતા ને સંસ્કારનું એકાદ ફોરું મારા માથે જીલીસ.


    ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • હું કયાં?

    હરેશ ધોળકિયા

    વર્તમાનમાં ટી.વી. જોઈએ કે છાપાં વાંચીએ કે સોશિયલ મીડિયામાં વાંચીએ, તો વિશ્વના લગભગ નેતાઓનાં વકતવ્યો કે લખાણો જોઈ હસવું કે રડવું તેની સમજ ન પડે. અહંકારથી છલકાતાં વકતવ્યો હોય છે. પોતે શું કરે છે, શું કરી શકે છે તેના હુંકાર તેમાં સંભળાય છે. કોઈ જ વક્તવ્યમાં ઊંડાણ, અભ્યાસ કે વીઝન જોવા ન મળે. કદાચ કયાંક વીઝનનો આભાસ થાય,
    પણ તે દેખાવ પૂરતો, પ્રચાર અર્થે જ હોય છે તે તરત ખ્યાલ આવી જાય. લગભગ વક્તવ્યો છીછરાં હોય છે. એટલે જ મોટા ભાગનાં વક્તવ્યો કે વિધાનો કરાય કે તરત તેનો વિરોધ કરવામાં આવતો જોવા મળે છે. અને આ વકતાઓ તેનો જવાબ પણ નથી આપતા. કદાચ આપે છે તો તેમાં જવાબ બદલે તિરસ્કાર વધારે જોવા મળે છે.

    આ બાબતનો ખ્યાલ ઝડપથી એટલા માટે આવે છે કે ભૂતકાળમાં એવા નેતાઓ જોયા-સાંભળ્યા છે જેઓ અભ્યાસી, નિષ્ણાત અને વિચારકો હતા. જવાહરલાલ નેહરુ એક આંતરરાષ્ટ્રીય કક્ષાના નેતા હતા. પ્રકાંડ વિદ્વાન હતા. અભ્યાસી હતા. તેમને સાંભળવા વિશ્વના લોકો આતુર રહેતા. અને તેઓના વકતવ્ય પછી સાંભળનારને વિચાર કરવો પડે તેવી સ્થિતિ થતી. એક વાક્ય પણ વ્યર્થ ન બોલતા. તો ડો. રાધાકૃષ્ણન પણ આંતરરાષ્ટ્રીય તત્વજ્ઞાની અને વિચારક હતા. સમગ્ર દુનિયા તેમને સાંભળવા આતુર રહેતી. વડા પ્રધાન નરસિંહરાવ તો ચૌદેક ભાષાના વિદ્વાન હતા. એક ઉતમ લેખક હતા. ડો. મનમોહનસિંહ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના અર્થશાસ્ત્રી છે. વિશ્વ કક્ષાએ કામ કરેલ છે. ભારતની આર્થિક સ્થિતિ બદલાવવામાં તેમનો બહુ મોટો ફાળો છે. ડો. કલામ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાની હતા. વિશ્વમાં પણ કેનેડી, ચર્ચીલ, ગોર્બોચોવ જેવા નેતાઓ પ્રભાવશાળી અને અભ્યાસી હતા. આજે ગમે ત્યાં નજર કરો, આવા કોઈ નેતા નથી જોવા મળતા. હા, વિદ્ધાનો છે, પણ તેમાંથી કોઈ જ નેતા નથી. નેતૃત્વમાં આત્યંતિક ગરીબાઈ જોવા મળે છે.

    આ નેતાઓમાં કે માનવોમાં અહંકાર જોવા મળે છે, ત્યારે વિચાર આવે છે કે માણસજાત અહંકાર કરી શકે તેવી ક્ષમતા તે ધરાવે છે ? શું જગત કે બ્રહ્માંડમાં માનવજાત શ્રેષ્ઠ છે ? શું કહે છે વિચારકો ? જાણવા જેવો મુદો છે આ.

    થોડા સમય પહેલાં ઈતિહાસ પર એક પુસ્તક પ્રકાશિત થયું છે. તેનું નામ છે ‘સેપિયન્સ.’ તેના લેખક છે યુવલ હરારે. અદભુત પુસ્તક છે. તેમાં તેણે માનવજાતનો ઈતિહાસ આપ્યો છે. તેની લીટીએ લીટી વાંચવા જેવી છે. (ગુજરાતીમાં આવી ગયું છે.) ઉપરછલ્લી રીતે વાંચીએ તો છેલ્લા વીસ લાખ વર્ષમાં માનવજાતે કેવો અદભુત વિકાસ કર્યો છે તેની માહિતી મળે છે જે
    વાંચી સ્તબ્ધ થઈ જવાય છે. ગુફાવાસી માનવમાંથી આજે રોકેટવાસી માનવ બની ગયો છે જે હવે તો મૃત્યુને પણ પડકારવા લાગ્યો છે. અમર થવાના પૂરા પ્રયાસો કરે છે. લેખકે ખૂબ ઝીણવટથી આ બધાનું વર્ણન કરેલ છે. પણ છેલ્લે આ સવાલ તે પણ ઉઠાવે છે કે શું માનવજાત સર્વશ્રેષ્ઠ છે ખરી ? તેનો તેણે વિસ્તૃત જવાબ આપેલ છે, પણ આપણે એક જ વિધાન જોઈએ. તે લખે છે, ” મનુષ્યો એક એવી આંધળી ઉત્કાન્તિનું પરિણામ છે જે કોઈ ધ્યેય કે હેતુ વગર ચાલ્યા જ કરે છે. આપણાં કર્મો કોઈ દિવ્ય બ્રહ્માંડીય યોજનાનો હિસ્સો નથી. આવતી કાલે જો પૃથ્વી વિસ્ફોટમાં ઊડી જાય, તો પણ બ્રહ્માંડ એની રીતે એનું કામ કરતું રહેશે.” ભયંકર વાક્ય છે. એ નગ્ન રીતે સૂચવે છે કે બ્રહ્માંડના સંદર્ભમાં માણસ કંઈ જ નથી. તેના વિના પણ બ્રહ્માંડ ચાલી શકે તેમ છે.

    થોડાં વર્ષો પહેલાં મહર્ષિ વિનોબાએ પણ અહંકાર સંદર્ભે આવું જ વિધાન કરેલ. તેમણે કહેલ કે બ્રહ્માંડમાં પૃથ્વી એક ચણા જેવડી છે. આ ચણાના સીતેર ટકા ભાગમાં પાણી છે. ત્રીસ ટકામાં લગભગ દોઢસો જેટલા દેશો છે. આ દેશોમાં મારો એક દેશ છે. એ દેશમાં પાછા બત્રીસેક રાજયો છે. દરેક રાજયોના પાછા ત્રીસ ચાલીસ જિલ્લાઓ છે. દરેક જિલ્લાનાં એટલા જ તાલુકાઓ છે. દરેક તાલુકાનાં પુષ્કળ ગામો છે. એમાં એક મારું ગામ છે. ગામના દસ પંદર વોર્ડ છે. તેમાં એક મારો વોર્ડ છે. મારા વોર્ડમાં પાછાં હજારેક ઘર છે. તેમાં એક મારું ઘર છે- બે ચાર રુમોવાળું. તેમાંના એક નાનકડા રુમમાં હું બેઠો છું અને મૂછ પર હાથ ફેરવું છું અને અહંકારથી છલકાઉં છું. હવે ચણાને સીતેર, ત્રીસ, દોઢસો….એમ ભાગતા જવાનું છે અને મારા રુમ સુધી પહોંચતાં ચણાનો કેટલો હિસ્સો રહે છે તે વિચારવાનું છે. કેટલો રહેશે ચણો ? તેમાં મારો રુમ કેવડો હશે ? એ રુમમાં પણ હું બેઠેલ છું તે જગ્યા કેવડી હશે ? આ વિરાટમાં મારા અહંકારનું મૂલ્ય શું હશે ? માત્ર ગણતરી કરાશે તો બધી હવા નીકળી જશે. હું મને બેકટેરિયા કરતાં પણ નાનો લાગીશ. મૂછ પર હાથ ફેરવવો યોગ્ય હશે ?”

    “આ તો નિરાશાવાદી વિધાનો છે. તો શું માણસનું કશું જ મૂલ્ય નથી ?” ગુસ્સામાં સવાલ પૂછાશે.

    જો વિરાટ અને વ્યાપક સંદર્ભમાં તપાસવામાં આવશે તો ” હા ‘ માં જવાબ આવશે. બ્રહ્માંડમાં પૃથ્વી કરતાં હજાર હજાર ગણા મોટા તારા છે. તેમની સામે પૃથ્વી પણ બેકટેરિયા જેવી છે. તો હું કયાં ? મારા હોવા-ન હોવાથી કશો જ ફર્ક નથી પડતો. અરે, આ વીસ લાખ વર્ષમાં આ પૃથ્વી પર પણ અબજો લોકો આવી ગયા છે અને આવતા રહે છે.આ વિરાટ સમુહમાં હું કયાં ? અરે, મોટા શહેરના રેલ્વે સ્ટેશનમાં પણ ઊભું તો ભીડ વચ્ચે હું એક છછુંદર જેવો લાગું છું. તો અબજો-ખરબો લોકો વચ્ચે?

    અને છતાં, હું ધારું તો, મારું વ્યકિતત્વ ખડું કરી શકું છું. મારા સ્થળ-કાળમાં હું જો મારું વ્યકિતત્વ કેળવી શકું, તો ચોકકસ પ્રભાવ પાડી શકું છું.

    આમાં પણ પાછા બે પ્રકાર છે.

    પહેલા પ્રકારમાં વ્યકિત પોતાના સમયમાં પોતાના ક્ષેત્રમાં પોતાના કર્મથી ચોકકસ પ્રભાવ પાડી શકે છે. પછી તે ઘરમાં હોય, શેરી કે ગામમાં હોય કે રાજયમાં પણ હોય. બહુ મહેનત કરે તો દેશ સુધી પણ જઈ શકે. દરેક સમયમાં આવા લોકો આવતા રહે છે જેઓ પોતાના ક્ષેત્રમાં પ્રભાવક રહે છે. જયાં સુધી તેઓ સક્રિય હોય છે, ત્યાં સુધી તેમનો વતો-ઓછો પ્રભાવ તે
    ક્ષેત્રમાં પડે છે. આ પ્રભાવ કોઈ સર્જનાત્મક ક્ષેત્રમાં હોય કે ભૌતિક ક્ષેત્રમાં પણ હોય. તત્કાલીન તેનાથી આસપાસના લોકોને લાભ પણ થતો હોય છે. પણ આ પ્રભાવ વ્યક્તિ હોય ત્યાં સુધી અથવા કામ કરે ત્યાં સુધી – અને તેના નાના ક્ષેત્રમાં- જ રહે છે. પછી તરત ભૂલાઈ જાય છે. બીજું કોઈ તેનું સ્થાન લઈ શકે છે. તેમનો પ્રભાવ લાંબા ગાળા સુધી રહેતો નથી. અનેક લોકો
    ધર્મસ્થાનો, હોસ્પિટલો વગેરે બંધાવે છે જેનો સમાજને લાભ પણ થાય છે. પણ તે લોકો ગયા પછી હોસ્પિટલ ચોકકસ કામ કરે છે, પણ તે લોકો ભૂલાઈ જાય છે.

    પણ બીજા પ્રકારમાં એવા લોકો આવતા હોય છે જેઓ લાંબા ગાળા સુધી પ્રભાવ પાડી શકે છે. તેઓ તેમનું વ્યકિતત્વ એટલું તો પ્રભાવશાળી કેળવે છે કે તેમનો પ્રભાવ, કયારેક તેમના ક્ષેત્રમાં કે કયારે વિશ્વમાં, શાશ્વત રહે છે. તેમને સમય કે સ્થળ નડતાં નથી કે પ્રભાવિત પણ નથી કરી શકતાં. તેઓ એ બન્નેને અતિક્રમી જઈ પ્રભાવક રહે છે. આપણો ઈતિહાસ આવા લોકોને યાદ રાખે છે. આપણે બુઘ્ધ, મહાવીર, ઈશુ, સોકેટીસ, લાઓત્ઝે, મહમદ પયગંબર, રામકૃષ્ણ, વિવેકાનંદ, મહાત્મા ગાંધી વગેરેને આમાં ગણી શકીએ. આ લોકોને તેમના સમયમાં અને તેમના ગયા પછી પણ સમાજ ભૂંસવાનો પૂરતો પ્રયાસ કરે છે, છતાં તેઓના પ્રભાવમાં એક ક્ષણ પણ ઘસરકો પડતો નથી. ઉલટા વધારે પ્રકાશિત અને પ્રભાવક થતા જાય છે.

    મજાની વાત એ છે કે આ બન્ને પ્રકારના લોકો કયારે અહંકાર નથી કરતા, કારણ કે વિરાટના સંદર્ભમાં પોતે કયાં છે તેનું તેમને પૂરું ભાન હોય છે. આ ભાન કે સજાગતા તેમને નમ્ર રાખે છે. અબજો લોકોમાંથી માત્ર આ લોકોએ જ માનવજાતનો વિકાસ કર્યો છે. તેમની સંખ્યા નહીંવત હોય છે. બહુમતિ તો સામાન્ય કે સરાસરી જીવન જીવે છે. તેમને વ્યકિતત્વ જેવું કશું હોતું
    જ નથી. એક કવિ કહે છે તેમ તેઓ તો બસ, ” ફરે, ચરે, રતિ કરે” અને એક દિવસ મરી જાય છે. તેઓ જીવે કે ન જીવે, કશો જ ફર્ક નથી પડતો. હા, કદાચ તેમના કુટુંબમાં મહત્વના મનાતા હશે (જો કે આ મહત્વ પણ મોહ આધારિત કે ઉપયોગીતાના સંદર્ભમાં હશે), પણ વ્યાપક સંદર્ભમાં તેમનો ફાળો શૂન્ય હોય છે. પણ આ મુઠ્ઠીભર લોકો એવા હોય છે જેઓ તેમની હાજરીમાં કે ગયા પછી પણ ઝળહળતા રહે છે, પછીના સમાજોને પણ પ્રભાવિત કરતા રહે છે અને માર્ગદર્શન આપતા રહે છે.

    આ મુઠ્ઠીભર લોકોમાં જો આવી શકાય, તો જીવવાનો અર્થ છે, નહીં તો જીવન વ્યર્થ છે. હા, અહંકાર કરવાની છૂટ છે, પણ પાસે રહેલ ગલુડિયું પણ તેમને ભસવા તૈયાર નહીં હોય !

    એટલે દરરોજ સવારે ઉઠીને પહેલો વિચાર એ કરવાનો છે કે આ સંદર્ભમાં હું કયાં છું ?

    પ્રમાણિક હશું તો સાચો જવાબ મળશે જ !


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો

    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧

    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • કાયદેસર અને સલામત ગર્ભપાતના મહિલા અધિકારનો ‘સર્વોચ્ચ’ ચુકાદો

    નિસબત

    ચંદુ મહેરિયા

    ઘટના-૧

    અમેરિકાના ટેકસાસમાં ગર્ભપાત કાનૂની ગુનો હતો.. ૧૯૬૯માં ટેકસાસ નિવાસી મહિલા નૉમૉ મેકર્કાવી ગર્ભપાત કરાવવા માંગતા હતા. પરંતુ રાજ્યનો કાયદો તેમને ગર્ભપાતની મંજૂરી આપતો નહોતો. તેથી તેમણે ફેડરલ કોર્ટમાં એબોર્શન લોને પડકાર્યો હતો.ગર્ભપાતના કાયદાને ગેરબંધારણીય ઠેરવવાની માંગણી કરી હતી. અદાલતમાં સરકાર પક્ષે ડિસ્ટ્રીકટ એટર્ની ડેનરી વેડે કાયદાનો બચાવ કર્યો હતો. ફેડરલ કોર્ટે કાયદાની બંધારણીયતાને માન્ય રાખીને ગર્ભપાત ગેરકાયદે હોવાનું સ્વીકાર્યું હતું. એટલે મહિલાને ગર્ભપાતની મંજૂરી મળી નહીં. મહિલાએ આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારતાં  અમેરિકી સુપ્રીમ કોર્ટે ૧૯૭૩માં  મહિલાનો ગર્ભપાતનો હક માન્ય રાખ્યો હતો. અદાલતી કાર્યવાહીમાં મહિલાની ઓળખ ગુપ્ત રાખી તેમને  જેન રો તરીકે ઓળખાવ્યાં હતાં. બચાવ પક્ષે એટર્ની હેનરી વેડ હતા. એટલે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો રો વર્સિસ વેડ જજમેન્ટ તરીકે તરીકે જાણીતો છે.

    હવે પચાસેક વરસોના અંતરાલે આ વરસે જ અમેરિકાની સુપ્રીમ કોર્ટે રો વર્સિસ વેડ જજમેન્ટને ઉલટાવીને ગર્ભપાત કરાવવો તે ગેરકાયદેસર હોવાનો ચુકાદો આપ્યો છે.

    ઘટના-૨

    અપરિણીત પરંતુ લીવ ઈન રિલેશનશીપમાં રહેતાં મૂળે ભારતના મણિપુર રાજ્યના અને દિલ્હીવાસી પચીસ વર્ષીય મહિલાએ તેમનાં ૨૩ અઠવાડિયાના  ગર્ભનો નિકાલ કરવા દિલ્હી હાઈકોર્ટમાં ધા નાંખી હતી. મહિલાએ સ્વીકાર્યું હતું કે તેમના પુરુષસાથી સાથેના સહમતીથી બંધાયેલાં શરીર સંબંધથી તેઓ ગર્ભવતી થયાં હતાં.  પરંતુ પુરુષમિત્રે લગ્નનો ઈન્કાર કરતાં  હવે તેઓ બાળકને જન્મ આપવા માંગતા નથી. દિલ્હી હાઈકોર્ટે ૧૯૭૧ના મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગન્સી એક્ટ, ૨૦૨૧ના સુધારા અને તે અંગેના નિયમ-૩-બીનું ટેકનિકલ અર્થઘટન કરી, નિયમમાં દર્શાવેલ વર્ગીકરણ મુજબની સ્થિતિ ધ્યાનમાં રાખી મહિલાને ગર્ભપાતની મંજૂરી આપી નહીં. એટલે મહિલાએ સર્વોચ્ચ અદાલના દ્વાર ખટખટાવ્યા

    સર્વોચ્ચ અદાલતની જસ્ટિસ ડી.વાય. ચન્દ્રચૂડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે, જોગાનુજોગ આ વરસના આંતરરાષ્ટ્રીય સલામત ગર્ભપાત દિવસે (૨૯મી સપ્ટેમ્બર), ચુકાદો આપી મહિલાને ગર્ભપાતની મંજૂરી આપી હતી.

    દુનિયાના વિકસિત અને આધુનિક મનાતા દેશ અમેરિકાની સુપ્રીમ કોર્ટ ગર્ભપાત મુદ્દે પારોઠનું પગલું ભરતો ચુકાદો આપે છે, ત્યારે ભારતની સુપ્રીમ કોર્ટ ગર્ભપાત મંજૂરીની સ્થિતિનો દાયરો વધારતો ઐતિહાસિક ચુકાદો આપે છે. સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં ગર્ભપાત માટે પરિણિત-અપરિણીત  મહિલા વચ્ચેના ભેદનો છેદ ઉડાડીને વિવાહિત, અવિવાહિત અને એકલ નારીને પણ ગર્ભપાતનો અધિકાર હોવાનું જણાવ્યું છે.  સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો મહિલાઓના માનવીય અને બંધારણીય અધિકારોની દ્રષ્ટિએ તો મહત્વનો છે જ,  તે સામાજિક રીતે પણ મહત્વનો છે અને સમાજ પરિવર્તનની દિશામાં નોંધપાત્ર બની શકે તેમ છે.

    ભારતમાં દરરોજ લગભગ  આઠ મહિલાઓના મોત  અસલામત ગર્ભપાતને કારણે થાય છે. માતા મૃત્યુના ત્રણ પ્રમુખ કારણોમાંનુ એક અસુરક્ષિત ગર્ભપાત છે. વરસ ૨૦૦૭ થી ૨૦૧૧ના ગાળામાં ૬૭ ટકા ગર્ભપાત અસુરક્ષિત હતા. લૈન્સેટનો ૨૦૧૯ના વરસનો એક અહેવાલ જણાવે છે તેમ ૨૦૧૫માં જે ૧૫.૬ મિલિયન ગર્ભપાત થયા હતાં તેમાંથી ૭૮ ટકા અસુરક્ષિત હતા. દેશની ૮૦ ટકા મહિલાઓ સલામત અને કાયદેસર ગર્ભપાતનો કાયદો દેશમાં પ્રવર્તમાન હોવાની હકીકતથી જ વાકેફ નહોતી તેમ પણ આ રિપોર્ટ જણાવે છે.

    ભારતમાં છેક ૧૯૭૦ના દાયકામાં ગર્ભપાતનો કાયદો ઘડાયો હતો. તેમાં ૨૦૨૧માં સંશોધન પણ થયું છે.તેની જોગવાઈઓ મુજબ મહિલા ૨૦થી ૨૪ અઠવાડિયા સુધીના ગર્ભનો નિકાલ કરાવી શકે છે. જોકે દેશની સામાજિક-આર્થિક સ્થિતિને કારણે છતે કાયદે સ્ત્રીઓને ગેરકાયદે અને અસલામત રીતે ગર્ભનો નિકાલ કરાવી જીવનું જોખમ વ્હોરવાની ફરજ પડાય છે. ભારતની રૂઢિવાદી  અને પિતૃસત્તાક સામાજિક સ્થિતિને કારણે ગર્ભપાતનો નિર્ણય મહિલા જાતે કરી શકતી નથી.પરંતુ પતિ અને પરિવાર કરે છે. ગર્ભમાં ઉછરતા જીવનો નિકાલ ધાર્મિક અને સામાજિક રીતે ખરાબ જ નહીં હત્યા માનવામાં આવે છે. જોકે આવું માનનારા સ્ત્રીભૃણની હત્યા કરતા અચકાતા નથી.વળી પરિણીત મહિલાઓને જ કાયદેસરના ગર્ભપાતનો અધિકાર હોવાનો સામાજિક આગ્રહ હોય છે. કથિત સામાજિક પ્રતિષ્ઠાને કારણે એકલ કે અવિવાહિત મહિલા ગર્ભપાત કરાવ્યાનું જાહેર કરી શકતી નથી.

    ગર્ભપાત અંગેના ૧૯૭૧ના કાયદામાં  ૨૦૨૧માં જે સુધારા થયા તેમાં વિવાહિત અને અવિવાહિત એવા ભેદ ન હોવાનું સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થયું છે. ઉપરાંત ૨૦૨૧ના સુધારાઓમાં પતિને બદલે સાથી(પાર્ટનર) શબ્દનું પ્રયોજન સહેતુક અને નારીવાદીઓના પ્રયાસો પછી થયું છે..એટલે અવિવાહિત પરંતુ લીવ ઈનમાં રહેતી મહિલાઓ અને એકલ નારી પણ ગર્ભપાતની એટલી જ હકદાર છે જેટલી વિવાહિત નારી છે.તે બાબત સર્વોચ્ચના ચુકાદા પછી અધોરેખિત કરીને કહેવાની જરૂર છે. જસ્ટિસ ચંદ્રચૂડે તેમના ચુકાદામાં એ બાબત પણ જણાવી છે કે ગર્ભપાત કાયદાના નિયમ ૩-બી(એ) પ્રમાણે પત્ની સાથે બળજબરીથી બાંધેલા શરીર સંબંધથી જો તે ગર્ભવતી બને અને તેને પત્ની જન્મ આપવા ન માંગતી હોય તો તે પણ ગર્ભપાતની અધિકારી છે. વૈવાહિક બળાત્કારનો પ્રશ્ન સુપ્રીમની દેવડીએ પડતર છે અને સરકારનું વલણ તેને ગુનો ગણવાનું નથી ત્યારે હાલમાં ગર્ભપાતના કાયદા પ્રમાણે મળેલી આ છૂટ પણ મહિલાઓને આશા જગાડનારી  બની શકે છે.

    ગર્ભપાતનો સવાલ મહિલાઓની સાથે સાથે બાળકોની દ્રષ્ટિએ પણ ચકાસવો જોઈએ. માતાના જીવનમાં અવાંછિત એવા બાળકોની સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય અને મનોવૈજ્ઞાનિક સ્થિતિઓનું વિષ્લેષણ કરતું એક અધ્યયન ૨૦૧૬માં પ્રગટ થયું હતું. બૉર્ન અનવોન્ટેડ , થર્ટી ફાઈવ યર્સ લેટર: ધ પ્રૈગ સ્ટડી શીર્ષક હેઠળના અભ્યાસનું તારણ હતું કે અવાંછિત બાળકોની શૈક્ષણિક કારકિર્દી વાંછિત બાળકોની તુલનામાં ખૂબ જ નબળી હતી. જનની જેમને જન્મ આપવા નહોતી માંગતી એવા બાળકોનું જીવન વધુ સંઘર્ષોભર્યું તો હતું જ, તેમની મન:સ્થિતિ પણ સારી નહોતી.

    ગર્ભપાતના વિરોધીઓ ગર્ભધારણ કરવાની વિશિષ્ટ ક્ષમતા માત્ર સ્ત્રીમાં જ છે એટલે ગર્ભમાં રહેલા બાળકને જન્મ ન આપવાનો નિર્ણય તે એકલી જ ન લઈ શકે તેવી દલીલ કરે છે. બીજી તરફ સ્ત્રીના શરીર પર માત્ર સ્ત્રીનો જ અધિકાર છે એટલે બાળકને જન્મ આપવો કે નહીં તે માત્ર સ્ત્રી જ નક્કી કરી શકે તેમ ગર્ભપાતના તરફદારોની દલીલ છે. ગર્ભપાત અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હવે આવા તમામ વિવાદોનો અંત આવવો જોઈએ અને ગર્ભપાતના મહિલા અધિકારને સ્વીકારી લેવાનો રહે. ગરિમાપૂર્ણ જીવનના મૂળભૂત અધિકારમાં ગર્ભપાતનો અધિકાર પણ સામેલ ગણાશે. મહિલા મુક્તિની દિશાનું મહત્વનું પગલું પણ તે બની રહેશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • વ્યક્તિત્વ વિકાસ

    હકારાત્મક અભિગમ

    રાજુલ કૌશિક

    એક દિવસની વાત છે. એક કિશોર નજીકના સ્ટોરમાં ગયો. ત્યાં પબ્લિક ટેલીફોન પરથી એણે એક ફોન જોડ્યો અને અત્યંત નમ્રતાથી એણે સામેની વ્યક્તિ સાથે “ગુડ મોર્નિંગ મેમ”નું અભિવાદન કરીને વાતની શરૂઆત કરી, “ એક્સક્યુઝ મી મેમ, મને તમારા ઘરની લૉન કાપવાનું કામ મળી શકે ?”

    “ મારી પાસે અત્યારે લૉન કાપવા માટે વ્યક્તિ છે જ.” કદાચ સામેથી જવાબ મળ્યો.

    “પણ હું આપની લૉન અત્યારે આપ ચૂકવી રહ્યા છો એના કરતાં અડધા ભાવે કાપી આપીશ,”

    “ સોરી, હાલમાં મને જે લૉન કાપી આપે છે એના કામથી હું અત્યંત સંતુષ્ટ છું.” ફરી સામેની વ્યક્તિએ જવાબ આપ્યો.

    “હું આપના ઘરની પગથીની આસપાસ ઉગેલું ઘાસ પણ કાપી આપીશ. આપની લૉનની હું ખુબ સરસ રીતે માવજત કરીશ.”પેલો કિશોર નમ્રતાથી પણ પોતાની વાત પર અડી રહ્યો.

    “સોરી, પણ મારે ખરેખર મારા કામ માટે અન્યને બોલાવવાની જરૂર નથી.”

    હવે પેલા કિશોરે સરસ મઝાના સ્મિત સાથે ફોન ક્રેડલ પર પાછો મુક્યો.

    આખી વાત સાંભળી રહેલા સ્ટોરના માલિકને આ કિશોરમાં રસ પડ્યો. એમણે કિશોરને પાસે બોલાવીને કહ્યું મને તારી કામ પ્રત્યેની ધગશ ગમી. તારું કામ પ્રત્યેનું વલણ ગમ્યું. તને અહીં કામ કરવું ગમશે?”

    “ના સર, આપનો આભાર….” કિશોરે નમ્રતાથી સ્ટોર માલિકને ના પાડી.

    અરે ! પણ હમણાં તો તું કામ માટે આજીજી કરતો હતો..”  આશ્ચર્ય પામતા સ્ટોર માલિકે કહ્યું.

    “ જી, હું મારી પાસે હાલમાં જે કામ છે ત્યાં મારી કામગીરીથી સંતોષ છે કે નહીં એ જાણવા માંગતો હતો.”

    આને કહીશું જાતનું મૂલ્યાંકન કરવાનો એક અનોખો અંદાજ. જાત માટેની અનેરી અજમાયેશ ?

    મોટાભાગે આપણે આપણી જાતની અન્ય સાથે જ સરખામણી કરતાં હોઇએ છીએ. આપણા કરતાં કોણ કેટલું આગળ છે, કોનામાં કેટલી ક્ષમતા છે એ અંગે જ આપણે વિચારતા હોઇએ છીએ..

    સીધી વાત- ખરેખર તો પહેલી જરૂર છે આપણે આપણી જ ક્ષમતાને જાત સાથે સરખાવવાની. ગઈ કાલે જે કરી શકતા હતા એના કરતાં આજે કંઇક વધારે સારો દેખાવ કરીએ છીએ? ઓફિસ હોય કે ઘર, ભણતર હોય કે ગણતર, આપણામાં કશો પણ સુધારો થયો છે?  ગઈકાલે જે પરફોર્મન્સ કે પરિણામ હતું એના કરતાં આજે વધારે ઉચ્ચ કોટીનું પરફોર્મન્સ કે પરિણામ આજે આપી શક્યા છીએ?

    આજે વિશ્વ જે રીતે હરણફાળે આગળ વધી રહ્યું છે એ રફ્તારે દોડવાની ખરેખર જરૂર છે ખરી? હા ! પ્રગતિ માટે કોઇનો કોઇપણ એક આદર્શ હોઇ શકે. એ આદર્શ આઇન્સ્ટાઇન કે અંબાણી. સ્ટીવ જોબ કે સ્ટીવન સ્પિલબર્ગ, અમિતાભ કે આર્નોલ્ડ શ્વાઝનેગર પણ હોઇ શકે. પણ ખરેખર તો એ સૌની જેમ સફળ થવા માટે કે એમણે સર કરેલી સફળતા સુધી પહોંચવા માટે થઈને પણ આપણે જાતને જ પહેલા કરતાં વધુ ને વધુ સક્ષમ બનાવવાની જરૂર છે.. અને એ માટે જરૂરી છે જાત ચકાસવાની કે આપણે જે કંઇ કામગીરી કરી રહ્યા હતા એના કરતાં આજની કામગીરી વધુ સંતોષજનક છે ખરી?

    જવાબ હા હોય તો ઉમદા. એનો અર્થ આપણે સાચા અર્થમાં વિકાસ કરી રહ્યા છીએ. આપ સંતોષની સાથે અન્યનો સંતોષ ભળે તો તો વળી એનાથી વધુ ઉમદા.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સદીઓથી હાંસીયામાં રહેલા માહ્યાવંશીઓના રાહબર ભૂપેન્દ્ર સુરતી- (ભાગ ૨ અને છેલ્લો)

    લ્યોઆ ચીંધી આંગળી

    રજનીકુમાર પંડ્યા

    ( ગયા સપ્તાહથી ચાલુ)

    દક્ષિણ ગુજરાતના માહ્યાવંશી સમાજના એક અગ્રણી તરીકે ભૂપેન્દ્ર સુરતી અનુભવે એ સમજી ચૂક્યા હતા કે ગામડાંની વસ્તીની અનેક જરુરતો શહેરો પર આધારિત છે એ હકીકત છે. બીજી હકીકત એ પણ છે કે દેશ અને દુનિયા સાથે કદમ મિલાવવાનો પહેલો લાભ સ્વાભાવિકપણે શહેરોને જ મળે છે. તેથી જરા પણ સુગાયા વગર ગામડાંઓના ઉત્કર્ષ માટે શહેરો સાથે તેમનું જોડાણ અનિવાર્ય છે. એમાં મોટો ફાળો પરિવહનના સંસાધનોનો જ હોઇ શકે છે.એમાં રેલ્વે સૌથી સુલભ, સસ્તું તથા ઝડપી માધ્યમ ગણાય. પરંતુ બિલીમોરા રેલ્વે સ્ટેશન પર ઘણી ટ્રેન થોભતી ન હોવાથી આસપાસનાં ગામડાંના લોકો તેનો અસરકારક ફાયદો ઉઠાવી શકતા નહોતા. આ સગવડ મેળવવા સારું સાધારણ આવેદનોથી આ સમસ્યાનો હલ લાવી શકાતો નહોતો. એટલે બીલીમોરા નાગરિક સમિતિએ સ્વ. રવિશંકર પટેલના નેતૃત્વ વિવિધ ટ્રેનોને બિલીમોરા સ્ટેશને થોભાવવાની માંગણી સાથે પ્રતિક ઉપવાસ અને ધરણાંનો કાર્યક્રમ યોજ્યો. એવે વખતે ભૂપેન્દ્રભાઇએ માહ્યાવંશી વિકાસ મંડળ ગણદેવી તાલુકાના આજીવન સભ્ય તરીકે આ અભિયાનના નેતા રવિશંકર પટેલને પોતાનો સક્રિય સાથ સહકાર આપ્યો. આની ત્વરિત અસર થઇ. એના પગલે જ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનને બીલીમોરા સ્ટેશને સ્ટોપેજ મળ્યું. આથી બીલીમોરા અને સરવાળે આજુબાજુના લાખો ગ્રામજનોનો શહેરો સાથેનો વ્યવહાર આસાન બન્યો.

    **** **** ****

    ૨૦૦૩માં સ્કૂલોએ અચાનક ફી વધારો કર્યો. સમાજમાં આવકનું નીચું સ્તર ધરાવનારા  કેટલાય પરિવારો મુશ્કેલીમાં મુકાયા. આના ત્વરિત પડઘા જેવી પહેલી પ્રતિક્રિયા બાળકને શાળા જ છોડાવી દેવાની આવે. જેના દૂરગામી પરિણામો સમગ્ર દેશના ભાવિ પર જ પડઘાય. સમજાવટ છતાં શાળાઓ ફી વધારો પાછો ખેંચવા તૈયાર ન થઇ ત્યારે એમ.એન્ડ આર. ટાટા હાઇસ્કૂલ બીલીમોરાના વાલી મંડળના પ્રમુખ તરીકે ભૂપેન્દ્રભાઇ ફરી એક વાર આગળ આવ્યા. ફી વધારા વિરુદ્ધ પ્રતિક ઉપવાસ કર્યા એના પરિણામસ્વરૂપ માસિક ફીમાં નોંધપાત્ર ફેર કરાવ્યો હતો. આ ઘટનાના દસ વરસ પછી ઘટનાનું પુનરાવર્તન કરવાનું આવ્યું અને તે એ રીતે કે ૨૦૧૩માં જી.આઇ.ડી.સી. ડીગ્રી એન્જીનીચરીંગ કોલેજ, નવસારીએ ફી વધારી અને એનો ઉહાપોહ થયો ત્યારે તેમણે ફરી એવું જ આંદોલન છેડ્યું અને ફી વધારો ઓછો કરાવ્યો, જેને કારણે સાડા ચારસો વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા. ભૂપેન્દ્રભાઇની સિધ્ધિઓમાં આ એક કલગી સમાન સિધ્ધિ હતી.

    **** **** ****

    એ દિવસોમાં સમાજમાં પ્રવર્તતી દારૂ કે જુગાર જેવી બદીઓ ભૂપેન્દ્રભાઈથી અજાણી નહોતી. તેના વિકરાળ પંજાથી એ વ્યથિત પણ રહેતા હતા. એટલું તો એ પાકું જાણતા હતા કે આ બદીઓના નિર્મૂલન વગર સમાજનું સાંસ્કારિક કે આર્થિક ઉત્થાન શક્ય નથી. આથી એમણે નશાબંધી અને આબકારી વિભાગના માજી મંત્રી કરસનભાઇ પટેલના વડપણ હેઠળની નશાબંધી કમિટીમાં ગણદેવી તાલુકાના સભ્ય બની વ્યસનમુકિતનું અભિયાન ચલાવ્યું હતું અને એની અંતર્ગત યુવાનોમાં વ્યસનમુક્તિ તથા એકતાના પ્રસાર માટે વિવિધ રચનાત્મક કાર્યક્રમો પણ અજમાવ્યા હતા. તેમાં વિવિધ રમત-ગમતોની પ્રવૃત્તિઓ મુખ્ય હતી. એક વાર તો મોટે પાયે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પણ કર્યું . એ ઉપરાંત ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગના ભૂતપૂર્વ મંત્રી સ્વ. ફકીરભાઇ વાઘેલા  સાથે ગુજરાત દલિત અધિકાર સંઘમાં જોડાઇ નવસારી જીલ્લાના દલિતોના વિવિધ પ્રશ્નોને વાચા આપી. જ્યોતિ સમાજ, ગણદેવી (નવસારી)ના સહયોગથી દેવસર ગામમાં સ્ત્રી સશક્તિકરણના અનેક કાર્યક્રમો દ્વારા મહિલાઓને વિવિધ કાયદાઓની સમજ આપવાના અનોખા કાર્યક્રમો કર્યા.

    માહ્યાવંશી સમાજમાં દર વર્ષે ૧૪ એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી થતી હતી એના અનુસંધાને તેઓ પોતાના સમાજમાં પણ આવી ઉજવણીઓ ગોઠવતા તથા પ્રેરક વક્તવ્યોનું આયોજન કરતા.

    **** **** ****

    આટલી બધી વ્યસ્તતાઓ વચ્ચે પણ ભૂપેન્દ્રભાઇ હર પળ અને હર કોઇ વ્યક્તિ માટે હંમેશાં ઉપલબ્ધ રહેતા. આનું ઉજળું પરિણામ એ આવ્યું કે આવા નક્કર સામાજિક કાર્યોની સમાંતરે તેમની રાજકીય કારકીર્દિ પણ વિકસતી ગઇ. કોઇ પણ સામાજિક કાર્યોમાં એ પોઝીટીવ રસ લેતા ગયા. એવા કામોને એ માત્ર સેવા નહીં, પણ પોતાની જવાબદારી સમજતા રહ્યા. 2001ની સાલના ભૂકંપે વેરેલા વિનાશ વખતે સ્થાનિક ધોરણે બચાવ કાર્યવાહીમાં  એ પોતાની સામાજિક જવાબદારી સમજીને જોતરાયા હતા. એ પછી તેમની કામગીરીઓમાં નક્કર અનુભવનું બળ ઉમેરાતું ગયું. પરિણામે ૨૦૦૧થી ભુપેન્દ્રભાઇ શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘમાં કારોબારી સભ્ય બન્યા અને એ પછી તરતના વર્ષે ૨૦૦૨ માં એમણે શ્રી માહ્યાવંશી વિકાસ મંચની રચના સાપુતારાના શિખરે મનહરભાઇ પટેલ સાથે ટ્રસ્ટી તરીકે જોડાઇને કરી અને તેને એવું તો વિકસાવ્યું કે એના દ્વારા સમાજના ઉત્કર્ષના નવા આયામો ઉઘડ્યા. માહ્યાવંશી સમાજના ટ્રસ્ટી તથા એ ટ્ર્સ્ટના નવસારી જીલ્લાના પ્રમુખ તરીકે છેક 2015 સુધી તેમણે વિવિધ સેવાઓ આપી. એ પછી તો ગુજરાત દલિત અધિકાર સંઘ, અમદાવાદમાં પ્રદેશ કારોબારી સભ્ય અને નવસારી જીલ્લા પ્રમુખ તરીકે ૨૦૦૨ થી ૨૦૦૮ અને ૨૦૦૯ થી ૨૦૧૩ સુધી ભાજપ પાર્ટીમાં અનુસૂચિત જાતિના નવસારી જીલ્લાના મંત્રી પદે પહોંચ્યા. એ નોંધવા જેવું છે કે આ બધું કરતાં કરતાં પણ ૨૦૦૮ થી ૨૦૧૨ સુધી દેવસર ગ્રામ પંચાયતના સભ્ય તરીકે પણ એ સક્રીય રહ્યા. છેલ્લા આઠેક વર્ષથી મેંગુષી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિમાં ટ્રસ્ટી તરીકે તેઓ આગળ પડતો ભાગ લે છે.

    આ ગાળા દરમ્યાન તેમની નિષ્ઠાની આકરી તાવણી કરે તેવી એક ઘટના બની.

    ૨૦૦૯ના અરસામાં જ માહ્યાવંશી મહોલ્લાની અવરજવરમાં એક ચોક્કસ વ્યક્તિ દ્વારા કોઇ ચોક્ક્સ મલિન ઇરાદાથી અવરોધ નાખવામાં આવ્યો. આ અસહ્ય અને અપમાનજનક હતું અને વ્યક્તિના મૂળભૂત હક પર તરાપ સમાન હતું. ભૂપેન્દ્રભાઇથી આ સહન ન જ થઇ શકે અને ન જ થયું.  એમણે કોઇ ન કરે એવું એક જલદ પગલું લીધું. ગુજરાતના એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના લોહીથી પત્ર લખ્યો ! આટલું કરીને પણ એ બેસી ન રહ્યા. કોઇ સંસ્થાના ખર્ચે નહીં, પણ ગાંઠના બે લાખના ખર્ચે એમણે કાનૂની રાહ અખત્યાર કર્યો. અઢી વરસ સુધી કોર્ટમાં કાયદાકીય લડત આપી અને આખરે રસ્તો ખુલ્લો કરાવ્યે જ પાર કર્યો.

    ભૂપેન્દ્રભાઇની આ બહોળી કાર્યયાત્રા એવી હતી કે ભલે સમાચારપત્રોના પાને એ ન ચમકે, પણ લોકમાનસમાં તો એ છપાઇ જ જાય અને એ એમની છબીને વધુ લોકપ્રિય બનાવે. કારણ કે કોઇના વ્યક્તિગત નહીં, પણ બહોળા સમાજને સ્પર્શતા આ પ્રશ્નો સામેનું એ ધર્મયુદ્ધ હતું. આવા જ એક યુદ્ધના એજન્ડા રૂપે ભૂપેન્દ્રભાઇના લક્ષમાં સમાજમાં સર્વલક્ષી દૂષણ જેવા કેટલાક રીતરિવાજો આવ્યા. એવા રિવાજોની વ્યર્થતા સાવ સમજાય તેવી હોવા છતાં તેને સંપૂર્ણપણે ટાળી શકાય તેમ નહોતું. એવા રીવાજોમાં સૌથી અવ્વલ નંબરે હતો લગ્નોના સમારંભોમાં દેખાદેખીથી કરાતા ખોટા ખર્ચા કરવાનો રિવાજ કે જેની સાથે જમણવારોમાં થતો અન્નનો બેફામ બગાડ પણ જોડાયેલો હતો. એમણે જોયું કે પવિત્ર યજ્ઞવેદી જેવો લગ્નનો મંડપ જ સામાજિક મોભાનું દંભી પ્રદર્શન સ્થળ બની રહે છે. જમણવારોમાં પણ એવું જ. આ બધા પાછળ આર્થિક ધોરણે નબળા પરિવારો પણ પોતાની જમીન કે ઘરેણાં ગીરવે મૂકીને આ પ્રસંગો ધામધૂમથી ઉજવવા પ્રેરાય છે. તેના પરિણામે કેટલાંય કુટુંબો એવાં તો દેવાદાર બની રહે છે કે પરિવારની આકસ્મિક માંદગી ટાણે  જરૂરી સારવાર માટેની જોગવાઇ પણ તેમની પાસે હોતી નથી. ભૂપેન્દ્રભાઇને આ બધી જીવતી સમસ્યાઓના ઉકેલ માટેના આ ચિંતનમાંથી જ સમૂહલગ્નોનો વિચાર આવ્યો. બીજા અનેક સમાજોના દાખલા એમની નજર સામે હતા. એટલે કે એમને એ પણ એમને ખબર હતી કે સમૂહલગ્નોનાં આયોજનો એ આ અઘરી સમસ્યાઓનો સંપૂર્ણ ઉકેલ નથી કારણ કે લગ્ન પ્રસંગ આટોપાઇ ગયા પછી પણ પરિવારો એ વ્યક્તિગત ધોરણે બીજા અનિવાર્ય ખર્ચ તો વેંઢારવા જ પડતા હોય, જેની સામે સમજાવટ સિવાય કોઇ ઇલાજ નથી. પણ તોય જ્યારે કશો ઉપાય હાથવગો ન હોય ત્યારે સમૂહ લગ્નોનો કિમિયો ઘણો કારગર નિવડે છે, એનાથી સમાજમાં ‘સર્વ જન સમાન’ની લાગણી જન્મે છે એ તો સાચું જ, પણ સાથોસાથ મહામૂલા અન્નનો બગાડ નોંધપાત્ર માત્રામાં ઘટાડી શકાય છે. વળી, બીજો મોટો ફાયદો એમાં એ હોય છે કે આવાં સમૂહલગ્નોમાં સમાજને પોતાનું આર્થિક યોગદાન આપવા ઘણા દાતાઓ આગળ આવતા હોય છે. એને કારણે વ્યક્તિગત કે પારિવારિક ખર્ચનું ભારણ પણ ઘટાડી શકાય છે. લાંબા સમય સુધી આની ઉપર ચિંતન કર્યા પછી ભૂપેન્દ્રભાઈએ સમાજમાં સમૂહ લગ્નના આયોજનોને ચલણી બનાવવાની દિશામાં પ્રયત્નો આદર્યા.

    તેની પહેલી શરૂઆત એમણે સાલ ૨૦૧૦થી કરી.  એ વર્ષે તેમણે સમૂહલગ્નોના આયોજનની શરૂઆત કરી. વર્ષે સરેરાશ એક એવું આયોજન ગણતાં તેમની રાહબરી નીચે ૨૦૧૯માં દસમો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો. એની અંતર્ગત સમૂહલગ્ન પદ્ધતિ દ્વ્રારા અત્યાર સુધીમાં કુલ ૧૩૦ યુવક-યુવતીઓ પોતાનો સંસાર માંડી ચૂક્યા છે. ૨૦૧૯માં વલસાડ જિલ્લાના કલવાડા ગામના બધાં જ 16 યુવક-યુવતીઓએ સમૂહલગ્નમાં સહભાગી થઇ સમાજમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. સમૂહલગ્નોમાં લોકોનો ઉત્સાહ જોતાં પરિચય પસંદગી સંમેલનનું પણ આયોજન કર્યું. ૨૦૧૩,, ૨૦૧૫ ને ૨૦૧૮માં સમાજના લગ્નોત્સુક નવયુવક-યુવતીઓના પરિચય પસંદગી સંમેલનો યોજી ૬૦૦ જેટલા યુવક-યુવતીઓની સામાજિક માહિતી સાથે પરિચયપુસ્તિકા પ્રસિદ્ધ કરી, જેથી સમાજમાં લગ્નો સરળતાથી ગોઠવાઇ શકે. જેના ફળસ્વરૂપે તેમાંથી ૩૫૦ જેટલા દીકરા- દીકરીઓનાં લગ્ન થઇ ચૂક્યા છે!

     

    આ ગાળા દરમિયાન ૨૦૧૫ના છેલ્લા રવિવારે એટલે કે ૨૦૧૫ના ડિસેમ્બરની ૨૭મી તારીખે બીલીમોરામાં લગ્નોત્સુક યુવક-યુવતીઓનું  પસંદગી સંમેલન એમણે બીજા અગ્રણીઓના સાથથી યોજ્યું. એ વખતે સમાજના અન્ય દાતાઓ સાથે ભૂપેન્દ્રભાઈના પિતા છોટુભાઇ સુરતીએ પોતે પણ એક લાખ અગીયાર હજાર એક સો અગીયાર રુપિયાનો આર્થિક સહયોગ આપ્યો અને એને પરિણામે બિલીમોરામાં સરદાર માર્કેટ રોડ પર આવેલા તિરુપતિ પ્લાઝાના પહેલા માળે 500 ચો.ફીટનું ‘શ્રીમતિ શારદાબેન છોટુભાઈ સુરતી’ સભાગૃહનું નિર્માણ શક્ય બન્યું.

    એવી જ રીતે એ દરમિયાનનો 2018નો ત્રીજો પરિચય પસંદગી મેળો તો એકદમ અલગ હતો. તેનું સમગ્ર સંચાલન તેમજ મુખ્ય મહેમાનપદ પણ મહિલાઓએ જ શોભાવ્યું. એ ઐતિહાસિક કાર્યક્રમમાં દરેક તબક્કે મહિલાઓને સાંકળીને મહિલા સશક્તિકરણની અનોખી ઉજવણી કરી.

    ધમધમતી પ્રવૃત્તિના સમયમાં  સાલ 2015માં ભૂપેન્દ્રભાઇએ માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટની(એમ.કે.ટી.) સ્થાપના કરી અને એના મેનેજીંગ ટ્રસ્ટી/ પ્રમુખસ્થાનની જવાબદારી સંભાળી. એટલે એ પછીનાં જે કોઇ સમૂહલગ્નો થયાં તે બધાં એમ. કે. ટી.ના નેજા હેઠળ આયોજિત થતા રહ્યા. અરે, અવિવાહિત છોકરા- છોકરીઓના પરિચય સંમેલનો પણ ઓનલાઇન યોજીને એના માધ્યમથી 280 જેટલા ચુવક યુવતીઓને જીવનસાથી શોધવામાં માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટ સફળ રહ્યું. એ વખતે ઉત્સાહનો અનુભવ કરાવવા માટે ઑનલાઇન લગ્નગીતોની રમઝટ પણ બોલાવી.

    એ જ માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટ (એમ.કે.ટી.) ના નામે હોસ્પિટલનાં સાધનો જેવા કે એર બેડ, વોટરબેડ, છ વ્હીલચેર, છ વૉકર, છ લાકડી, બે હાથની ઘોડી, સક્શન મશીન, લેડીઝ – જેન્ટ્સ યુરીન પોર્ટ, કોમન પાટ, ટોયલેટ ચેર, છ બેડ, બેકરેસ્ટ સ્ટેન્ડ, ઑક્સિજન માટેનું બાયપેક મશીન જેવા બહુમૂલ્ય સાધનો વસાવ્યા છે. હવે ઠેઠ વાપીથી તાપી સુધીના સમાજના જરૂરિયાતમંદ દર્દીઓને તે વિનામૂલ્યે પહોંચતા કરી વધુ એક સેવા શરૂ કરી છે. ટૂંક સમયમાં ફીઝીયોથેરાપી સેન્ટર શરૂ કરવાનો પણ તેમનો ઇરાદો છે.

    મહત્વના પદભારમાં માન અને ગૌરવ સાથે જવાબદારીઓ પણ વિંટળાયેલી હોય છે. અને એમાં ભલભલા ગફલતમાં રહીને બદનામી વહોરતા હોય છે. પણ ભૂપેન્દ્રભાઇ એ બાબતમાં બિલકુલ બેદાગ રહ્યા. વર્તમાન અને વિતેલા એક એક વરસમાં સંસ્થાના સરવૈયાઓમાં પાઇએ પાઇનો હિસાબ તેમણે પારદર્શક રાખ્યો. તેમની ઝીણવટ અને ઇમાનદારીપૂર્વકનાં આચરણની ચોમેર પ્રશંસા થઇ.

    કોઇ પણ સંગઠનની કરોડરજ્જુ એની એકતા અને અખંડિતતા હોય છે. એ હશે તો અંદર કે બહારનું કોઇ બળ એને હચમચાવી નહીં શકે. એ આધારસ્તંભને મજબૂત કરવા એ સાથીઓના સહકારથી અનેકવિધ ઉપાયો પણ તે અજમાવતા રહ્યા. એનો એક જ દાખલો દેવો હોય તો તેમણે માહ્યાવંશી વિકાસમંચ દ્વારા સાલ ૨૦૦૯માં યોજેલી ઉમરગામથી મેહગામ (ભરુચ) સુધીની ૩૦૦ કિમીની મહાયાત્રા ! તેમાં ૧૦૦ બાઇક, ૨૫ કાર તથા એક લક્ઝરી બસના માધ્યમથી ૩૦૦ જેટલા યુવાનો જોડાયા હતા. વધુ વિગતમાં ઊંડા ઉતરીએ તો ૨૦૧૫થી ૨૦૧૯ દરમ્યાન એકથી વધુ ધાર્મિક પ્રવાસોના આયોજન તેમણે કર્યા. ૨૦૧૫-૧૬માં ભરુચ, મઠ, મહેગામ ખાતે પૂ. શ્રી હરિબાવા ગોસાઇના મંદિરના જીર્ણોદ્ધાર માટે નવસારી ટાટા હૉલમાં ડાયરાનું આયોજન કરી અંદાજે રૂપિયા દસ લાખ એકત્ર કરવામાં ભૂપેન્દ્રભાઇનું ઘણું યોગદાન રહ્યું. એવા જ હેતુથી રૂપિયા છ લાખના ખર્ચે ૨૦૧૯માં વલસાડ જિલ્લાના ઊંટડી ગામે દલિતોના મસિહા એવા વીર છત્રસિંહ લાલજી ઉટેકરની પ્રતિમા તેમના અને તેમના મિત્રોના સહકારથી સ્થપાઇ હતી.

    આમ, સાવ આરંભે શરૂ કરેલાં સમાજોપયોગી કાર્યોનો વ્યાપ વધુ ને વધુ વિસ્તરિત થતો ગયો. ચોમાસામાં પૂર પીડિતોના ઘેર ઘેર જઈ કેશડોલનું વિતરણ કરવું, સમાજના આર્થિક રીતે નબળા પરિવારોમાં માંદગીના સમયે આર્થિક યોગદાન આપવું, ગંભીર અકસ્માત કે આગ જેવી હોનારત સમયે નિરાધાર કુટુંબને આર્થિક સહાય કરવી વગેરે જેવાં કામોનો પણ ઉમેરો થચો. વળી, પર્યાવરણલક્ષી વૃક્ષારોપણના કાર્યક્રમો તથા રક્તદાન શિબિરોનું આયોજન તો તેમના દ્વારા થતું જ રહે છે, તેમનો ઉપદેશ પારકા માટે નથી , તેમણે જાતે પણ ૪૦થી ય વધુ વખત રક્તદાન કર્યું છે ! છેક હમણાં પણ બિલિમોરાને હરીયાળું બનાવવા માટે હરિયાળી ગૃપમાં આજીવન સભ્ય બન્યા અને વૃક્ષોનો ઉછેર કરીને પર્યાવરણના જતનમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું.

    થોડી અગાઉની હકીકતો પણ તાજી કરીએ.

    ૨૦૦૧ થી શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ (મુંબઇ)ની ગણદેવી શાખામાં જોડાયા પછી વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન, નોટબુકોનું વિતરણ, આર્થિક સહાય અપાવી, જે સી આઇ બિલિમોરાના ચશ્મા વિતરણ કેમ્પમાં વાઇસ પ્રેસિડેંટ અને પ્રોજેક્ટ ચેરમેન તરીકે ઉત્તમ કામગીરી કરી અને મેડીકલ કેમ્પ વગેરેનાં આયોજન કાર્યક્રમ અમલી કર્યા. આ સેવાનો વ્યાપ અમદાવાદથી લઈ બરોડા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને છેક મહારાષ્ટ્રના ઉલ્લ્હાસનગર-મુંબઈ સુધી પહોંચતો થયો છે! આમ તેમની સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ અને ભૌગોલિક સીમાડા પણ વિસ્તાર્યા છે. એમાં તો એમને એટલી લોકચાહના હાંસલ થઇ કે  મુંબઇની એમ એસ પી સંઘ સંસ્થામાં તો કોઇને ન મળ્યા હોય એટલા બધા મત મેળવીને એ જીતી ગયા અને એ સંસ્થાને પોતાના નિયમોમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થઇ. ભૂપેન્દ્રભાઇ માટે જો કે આ નવું નથી. માહ્યાવંશી સમાજની સો ઉપરાંત સંસ્થાઓ સાથે પોતે સંપર્કો ધરાવતા હોય તો જ આવું શક્ય બને.

    **** **** ****

    કોઇ પણ સમાજની સંસ્કારિતાનું માપ એ હકીકત પરથી નીકળે છે કે તે પોતાના સમુદાયના સભ્યોની સારપને કેવી રીતે પીછાણે છે અને એનો પુરસ્કાર કઇ રીતે અને કેવો કરે છે ! પોતાના માહ્યાવંશી સમાજના લોકોને પ્રેરણા મળે અને તેને કારણે તેમનામાં આત્મવિશ્વાસ તથા આત્મસન્માન જાગે તેવા વિવિધ સન્માન કાર્યક્રમો યોજવા તેમણે શરૂ કર્યા. આ માટેની શરુઆત તેમણે હોંશિયાર વિદ્યાર્થીઓને પારિતોષિકો આપવાથી કરી અને એની જ  આગલી કડી રૂપે તેમણે સમાજમાં આગવું પ્રદાન કરનારા, ભણીને કોઇ ક્ષેત્રમાં આગળ વધેલા તેમજ વિવિધ સરકારી ઉચ્ચ હોદ્દે પહોંચેલા વડીલો વગેરેના બહુમાનના કાર્યક્રમો યોજવાનું શરુ કર્યું. આ એક રીતે સમાજમાં અન્યોથી ઉપર ઉઠનારને પોતે કઇંક વિશિષ્ટ કરી બતાવ્યાનો સંતોષ આપવાનું કામ તો થયું જ, પણ એના દ્વારા આ અન્યોને પ્રેરણા આપવાની એક સુઘડ ચેષ્ટા પણ બની આવી.

     

    આટલા બધા વિપુલ પ્રમાણમાં સતત કરાતાં રહેતાં લોકસેવાલક્ષી અને સમાજલક્ષી કાર્યોના કેન્દ્રમાં એક ચાલકબળ તરીકે હોવાને કારણે  માહ્યાવંશી ઉપરાંત ઇતર સમાજમાં પણ ભૂપેન્દ્રભાઇની ઇમેજ માનવંતી બની અને તેમનાં માનમોભો વધ્યાં. તેમના બોલનું વજન પણ વધ્યું અને શબ્દોની ઈજ્જત પણ વધી અને એના પરિણામે જાહેર કાર્યોમાં એમને નડતાં અવરોધો અને આડખીલીઓ ઓછાં થયાં. પરિણામે સમાજ સાથે તેમની નિસબત વધુ ગાઢ બની અને પરિણામ પામતી પણ બની. તેમનો ઝોક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતો જેમ કે પીવાનું સ્વચ્છ પાણી, રસ્તા, ગટર તેમજ લાઇટની સમસ્યાઓ પ્રત્યે વધુ રહેતો. તેમણે દેવસર ગ્રામ પંચાયતના ઠુઠ વિસ્તારમાં આ સમસ્યાઓનો ઉકેલ લાવવા આદોલનો પણ કર્યા અને સમસ્યાઓ હલ કરવામાં અગ્રેસર ભૂમિકા નિભાવી. અત્યાચાર વિરોધી કે મેલાં તત્વો સામે સરકારી રાહે પગલાં ભરાવવા કે ગામડાઓમાં મતદાર યાદીમાં મહોલ્લાના નામો ચકાસી તેમાં સુધારો કરવા જેવા કાર્યો માટેની તેમની તત્પરતા સાર્થક બની. ત્રાજવાંના બે સમતોલ પલ્લાં સરખી તેમની તટસ્થતાથી તેઓ કોઇ કોઇ પરિવારના અંગત ઘરેલુ કજિયાઓમાં વચ્ચે પડીને સુખદ સમાધાન કરાવવામાં પણ તેમને સફળતા મળવા માંડી. અનેકવિધ રીતે હવે તેમની સેવાઓ બહોળા જનસમાજ સુધી પહોંચતી હતી.

    કાર્યક્ષેત્ર વધતાં તેમનું જોમ ને ઉત્સાહ બેવડાયો છે.પોતાના સ્વજન માટે  કોઇ ન કરી શકે તેવી સેવાઓ ભૂપેન્દ્રભાઇ લાયક અને યોગ્ય લોકો માટે અવિરત પણ કરતા રહ્યા. થોડા વખત પહેલાં જ બે વિદ્યાર્થીઓને પાયલટ બનવા વિદેશ અભ્યાસ અર્થે જવા સરકાર તરફથી પંદર લાખ રુપિયાની લોન મંજૂર કરાવવામાં મદદ કરી હતી.  સાલ 2010માં ખાપરવાડાના મુલચંદભાઇ ધુયાની હૃદયરોગની સારવાર માટે ગાંધીનગર જઇ મુખ્યમંત્રી રાહતફંડમાંથી તેમજ અન્ય દાતાઓના સહયોગથી રૂપિયા દોઢ લાખ ભેગા કરી, સુરત મહાવીર કાર્ડીયાક હોસ્પિટલ ખાતે એન્‍જિઓપ્લાસ્ટી સર્જરી કરાવી આપી. એ જ વર્ષે નાંદરખા ગામે ૧૯ વરસના જુવાનના  હૃદયના વાલ્વના ઓપરેશન માટે  50,000 ની સહાય ઘેર બેઠાં પહોંચાડી. ૨૦૧૨ની સાલમાં જલાલપોર તાલુકાના મંદિરે ગામે માહ્યાવંશી સમાજના એક સાવ નબળી સ્થિતીના પરિવારના રહેણાંકમાં અકસ્માતે આગ લાગી ત્યારે પોતાની વગથી કેટલાક દાતાઓનો સંપર્કને  કરી ૭૫,૦૦૦ રુપિયા જેટલી સહાય પહોંચાડી  હતી. છેક હમણાં, 2022માં એક પરિવારના બંને દિકરાઓ પોલિયોગ્રસ્ત હતા અને આવકનું કોઇ સાધન ન રહ્યું ત્યારે આખા વરસનું સીધું સામાન અને રોકડ રૂપિયા એક લાખ ઉપરાંત સરકારી સહાય મેળવવામાં મદદ કરી.

    કોરોનાકાળ વખતે તો તેમણે પોતાનો અને પોતાના પરિવારનો જીવ જોખમમાં મૂકીને લોકોને  મદદ પહોંચાડી. એ તો સૌ જાણે છે તેમ બહુ કપરો સમય હતો. શરૂઆતમાં કોઇને કશી ગતાગમ નહોતી પડતી કે શું કરવું? લોકોના ધંધારોજગાર સાગમટે ઠપ્પ થયાં. લોકો ખાય શું? એ વિચારે કંપારી છૂટતી. એ દિવસોમાં એમણે રાશનની કીટ બનાવીને લગભગ ૩૬ જેટલા કુટુંબોને પહોંચતી કરી. સારવારના ખર્ચ માટે ફંડફાળો ઉઘરાવીને ઘણાં નબળી સ્થિતિવાળાઓને  હોસ્પિટલોમાં સારવાર અપાવી. એ કાળા બોગદા જેવો સમયગાળો અને એનો ખોફ જરા હળવો થયો. સાથે સાથે પ્રજામાં પણ થોડી સમજ કેળવાઇ એટલે એને લગતી ઑનલાઇન આઠેક જેટલી વેબિનારો આયોજીત કરી. તેમાં મોટિવેશનલ ટ્રેઇનિંગ કાર્યક્રમો ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, સંગીત જેવા વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા, એનો તો અઢી હજારથી વધુ લોકોએ લાભ લીધો.

    હવે તો સેવાના માર્ગે તેઓ બીજી જૂનીનવી ઘણી સંસ્થાઓ પ્રવૃત્ત છે. માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટે પોતાનો વ્યાપ વધાર્યો, પણ પોતાની લીટી લાંબી કરવા સામેવાળાની લીટીને ભૂંસવાનો પ્રયત્ન ક્યારેય ન કર્યો. એણે તો પોતાનો નક્કી કરેલો માર્ગ અને ધ્યેય અમારો પથ જાળવી રાખ્યો અને સમાંતરે જ બીજી સેવાસંસ્થાઓને પણ કામમાં આવતા રહ્યા. એનો એક જ નમૂનો : ૨૦૧૨-૧૩માં બિલીમોરાના જ મહાવીર વૃધ્ધાશ્રમમાં એક મહિનાનું અનાજ, કરીયાણું તથા મચ્છરદાની અર્પણ કર્યાં હતા. એવી રીતે જ ગણદેવી વૃધ્ધાશ્રમમાં પણ એક દિવસ સમૂહભોજનનું આયોજન કર્યું હતું. ૨૦૧૪થી તેમણે વસ્ત્રદાનની પ્રવૃત્તિ જારી કરી છે, જે હજુ સુધી બંધ પડી નથી.

    એમની આજકાલની છેલ્લી દૂરંદેશીવાળી પ્રવૃત્તિ વિષે વાત કરીને વાત પૂરી કરીએ. માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટ, બિલીમોરા તરફથી એ સમસ્ત માહ્યાવંશી સમાજ માટે જાન્યુઆરી ૨૦૨૩ થી એક આકસ્મિક વિમા યોજના અમલમાં મૂકી રહ્યા છે. આ દિશામાં આ એક તદ્દન નવતર પહેલ છે, જે અગાઉ કોઇએ વિચારી પણ નહોતી.

    **** **** ****

    હવે વનપ્રવેશ કરી ચૂકેલા ભૂપેન્દ્રભાઇ છોટાલાલ સુરતી નામના સંસારી તપસ્વીએ આ સપનાં પોતાની સાવ યુવાવયથી જોયાં હતા. પોતાના પગ પર ઊભા રહેવાનું શરુ કરવાની ઉંમરે એમણે અન્યો માટે લાકડીનો ટેકો બનવાનું શરૂ કર્યું હતું. જેને આજકાલ કરતાં પાંત્રીસ વરસથી પણ વધુ સમય થયો, છતાં સહેજે થાક્યા કે અટક્યા નથી. તેનું બીજું પણ રહસ્ય એ છે કે તેમના આ મિશનમાં કાકા, નાના ભાઇ, બહેન, પુત્રો એ સૌ કુટુંબીજનોનો સહયોગ ભળ્યો છે. તેમનાં પત્ની સરોજબહેન પણ ગ્રામ પંચાયતના સભ્ય રહી ચૂક્યાં છે.

    શરૂઆતમાં જ શરદીનો યોગ્ય ઉપચાર કરીએ તો સંભવિત ન્યુમોનિયાનો ખતરો ટાળી શકાય છે. આટલી સાદી છતાં તાર્કિક સમજ ભૂપેન્દ્રભાઇની છે. અને એ સમજ વિકસીને હવે લોકસેવાના પંથે નિ:સ્વાર્થભાવે આગળ વધતા લોકો માટે મશાલ બનીને પ્રકાશ પાથરી રહી છે.

    **** **** ****

    તેમનો સંપર્ક: ડૉ. આંબેડકર સ્ટ્રીટ, મુ.પો. દેવસર, બીલીમોરા, તાલુકા ગણદેવી (જી. નવસારી) પીન- 396 380

    મોબાઇલ અને વ્હૉટ્સએપ: 93770 33446

    E Mail: bhupendrasurti21@gmail.com


     

    લેખક સંપર્ક-

    રજનીકુમાર પંડ્યા.,
    બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
    મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

  • આપણા ભાગે આવતી માત્ર એક જ જિંદગી

    મંજૂષા

    વીનેશ અંતાણી

    જિંદગીની નવી રીતે અને નવી જગ્યાએ શરૂઆત કરવી એક વાત છે,
    મૂળિયાં ઉખેડીને પલાયન કરી જવું જુદી વાત છે

    કાલ્પનિક આધેડ મહિલાની નોાંધ: ‘આખો દિવસ વરંડામાં બેસીને રસ્તા પર પસાર થતા લોકોને જોયા કરું છું. દિવસ જેમતેમ પસાર થઈ જાય. સાંજે બીજાં ઘરના લોકો પાછાં આવતાં દેખાય અને હું એની વાટ જોવા લાગું. મને થાય કે એ પણ બેન્કમાંથી પાછો આવશે. સ્કૂટરનો અવાજ સાંભળતાં હું આંગણાનું ફાટક ખોલવા દોડતી જઈશ. એ થાકેલો આવશે. હું એના માટે ચા બનાવીશ. એ પૂછશે: ‘આખો દિવસ શું કર્યું?’ હું કહીશ… શું કહીશ એને? એ તો કેટલાંય વર્ષોથી પાછો આવ્યો જ નથી. હું એને જોતી રહીશ અને એ એક દિવસ મને જણાવ્યા વિના ચાલ્યો ગયો હતો તેમ જ ફરી મારી સામેથી ગૂમ થઈ જશે.’

    મેં નાનપણમાં એક સ્ત્રીને એના કિશોર વયના દીકરા સાથે એકલી રહેતી જોઈ હતી. વર્ષો પહેલાં એનો પતિ કોઈને જણાવ્યા વિના અચાનક ઘરમાંથી ચાલ્યો ગયો હતો. સ્ત્રીએ અને સગાંવહાલાંઓએ બહુ તપાસ કરી, પરંતુ એની ભાળ મળી નહીં. એ લોકો ગામનાં કૂવા-તળાવમાં પણ શોધ કરી આવ્યાં હતાં. ન એ આવ્યો, ન તો એનો મૃતદેહ મળ્યો. એ મહિલાએ પારકાં ઘરનાં કામ કરીને દીકરાને મોટો કર્યો. એના મોઢા પર કાળી ગમગીન છાયા છવાયેલી રહેતી. એ સ્મિત કરવાનું ભૂલી ગઈ હતી. એ એવી જિંદગી જીવી, જેના માટે એ કોઈ પણ રીતે જવાબદાર નહોતી. જવાબદાર હતો તે પુરુષ હંમેશને માટે ગાયબ થઈ ગયો હતો. ક્યાં ગયો, શા માટે ગયો, જીવે છે કે નહીં તેવી કોઈ પણ બાબતની ખબર જ પડી નહીં. એ સ્ત્રી ન તો સધવાનું જીવન જીવી શકી, ન તો વિધવાનું.

    આવા ઘણા કિસ્સા બને છે. કેટલાક લોકો દેખીતા કારણ વિના ઘર છોડીને ચાલ્યા જાય છે. કારણ હોય તો પણ એનો રસ્તો કાઢવાની એમની તૈયારી હોતી નથી. પાછળ આખો પરિવાર જીવન ઘસડતો રહે છે. એ કયો મૂંઝારો હોય છે, જે એમને ઘર છોડીને જવા માટે મજબૂર કરે છે? બધા કિસ્સામાં માત્ર મૂંઝારો જ નથી હોતો, બીજાં ઘણાં કારણો હોય છે, પરંતુ એમના પરિવારની યાતના એક જ પ્રકારની હોય છે.

    ૧૯૮૯માં બનેલી મૃણાલ સેનની આર્ટ ફિલ્મ ‘એક દિન અચાનક’ યાદ આવે. એમાં પણ આધેડ પ્રોફેસર એક  સાંજે વરસતા વરસાદમાં ઘરમાંથી બહાર જાય છે અને ફરી ક્યારેય પાછો આવતો નથી. આઘાત અને અનેક પ્રશ્ર્નોમાં ઘેરાયેલો પરિવાર જીવનમાં સ્થિર થવાની કોશિશ કરે છે, પરંતુ તેઓ અંદરથી ઊખડી ગયાં છે. એમને એક જ પ્રશ્ર્ન છે કે એ શા માટે ચાલ્યો ગયો. બધાં પોતપોતાની રીતે જવાબ શોધવા મથે છે. કોઈને લાગે છે કે એ જીવનમાં કશુંક બહુ મોટું કામ કરવા માગતો હતો અને કરી શક્યો નહીં, તેથી હતાશામાં ચાલ્યો ગયો. કોઈ વિચારે છે, કદાચ એ પોતાને બીજા લોકોથી ભિન્ન સાબિત કરવા માગતો હતો. પરિવાર સિવાયના લોકો પણ પ્રોફેસરનું અલગ – અલગ રીતે મૂ્લ્યાંકન કરે છે, જેનો કશો જ અર્થ હોતો નથી. એ ઘર છોડીને ચાલ્યો ગયો, પરંતુ એનો પડછાયો ઘર પર મંડરાતો રહે છે. પ્રોફેસર ખોવાઈ જઈને પણ ખાલીપાની ભેટ પરિવારને આપતો જાય છે.

    હિન્દીના સુપ્રસિદ્ધ સર્જક નિર્મલ વર્માની વાર્તા છે: ‘કૌએ ઔર કાલા પાની.’ એ વાર્તામાં ઘર છોડીને ચાલ્યો ગયેલો માણસ કેન્દ્રમાં છે. પરિવારનો બીજા નંબરનો દીકરો અચાનક ચાલ્યો જાય છે પછી પિતા અને ભાઈઓએ હૉસ્પિટલોમાં, પોલીસથાણામાં, શબઘરોમાં એની નિષ્ફળ શોધખોળ કરી હતી. દસ વર્ષો પછી એક પહાડી ઇલાકામાંથી એનો પોસ્ટકાર્ડ મળે છે. સૌથી નાનો ભાઈ એને મળવા આવે છે. દસ વર્ષોથી પહાડોની વચ્ચે એકલા રહેતા પુરુષને અજાણ્યા લોકો સંન્યાસી માને છે. નાના ભાઈ સાથેની વાતચીતમાંથી ઘર છોડીને ચાલ્યા ગયેલા માણસના મનની કેટલીક બાબતો વાંચકને સમજાય છે. પરિવારને છોડ્યા પછી પણ એ કશું જ ભૂલી શક્યો નથી. ભાઈ પૂછે છે કે બીજા લોકોને સાવ છોડી દેવા શક્ય હોય છે? એનો જવાબ છે કે એ શક્ય હોતું નથી. ઘર છોડ્યા પછી પણ એ માનસિક રીતે પરિવાર સાથે જોડાયેલો રહ્યો હતો. કદાચ એમાંથી હંમેશને માટે છુટકારો મેળવવા માટે જ એણે દસ વર્ષ પછી પરિવારને પત્ર લખ્યો હતો.

    કેટલાક લોકો કોઈ પણ જગ્યાએ હોય, તેઓ હોઈને પણ ન હોવા જેવા હોય છે. જિંદગીની નવી રીતે અને નવી જગ્યાએ શરૂઆત કરવી એક વાત છે, મૂળિયાં ઉખેડીને પલાયન કરી જવું જુદી વાત છે. જરૂરી નથી કે ઘર છોડીને ચાલ્યા જતા લોકો જ ઘરની બહાર વસતા હોય. ઘણા લોકો ઘરમાં પરિવારની વચ્ચે રહેતા હોય, છતાં ગેરહાજર જેવું જ જીવન જીવે છે. એવા લોકો અથવા ઘરમાંથી ચાલ્યા જતા લોકો જાણતા નથી કે આપણા ભાગે આવેલી જિંદગી માત્ર એક જ વાર જીવી શકાય છે.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • શ્વાસોનો ધબકારો

    ડો. નીલેશ રાણા