વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૨ #

    ચાલો, અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનને સમજીએ

     

    અર્થશાસ્ત્રની આપણી આસપાસ રચાયેલી જેલની દુનિયા થી આગળ

    દિવ્યભાષ સી. અંજારીઆ

    આપણાં જીવનનાં સુખની સફર વૈજ્ઞાનિક અર્થશાસ્ત્ર અને અંગત અર્થવ્યવસ્થા એમ બે રસ્તે આગળ વધતી હોય છે.

    પહેલાં વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રના માર્ગનો નકશો સમજીએ.

    અર્થશાસ્ત્રીઓ અને આપણે

    પરંપરાગત વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ અર્થશાત્રને એક વિજ્ઞાનની નજરે જુએ છે. તેઓ માને છે કે એક વિજ્ઞાન તરીકે અર્થશાસ્ત્ર આર્થિક ઘટનાઓને વૈજ્ઞાનિક નિયમો દ્વારા સમજાવી શકે છે. તેમના મતાનુસાર અર્થશાસ્ત્રના આ નિયમો આપણા વિવિધ આર્થિક નિર્ણયો અને વર્તનોને અમુક દિશા આપતાં પરિબળો છે. એમને માટે અર્થતંત્ર એ એકલ ઘટક એવું નાણાં વિશ્વ છે. એ નાણાં વિશ્વમાં વ્યાપક સ્તરે જે કંઈ બની રહ્યું છે, કે બનશે, તે સમજાવવા માટે તેઓ સમષ્ટિ અર્થશાસ્ત્રના નિયમો ઘડે છે.

    જમીની સ્તરે, વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ આપણને આથિક નિર્ણયો લેતાં આર્થિક પરિબળો ગણે છે. અને એ મુજબ, આપણે કેવી રીતે આર્થિક નિર્ણયો લઈએ છીએ તે વિશે તેઓ અનુમાનો ઘડે છે.

    અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનની આચરણમૂલક અર્થશાસ્ત્ર અને પ્રયોગમૂલક અર્થશાસ્ત્ર એમ બે શાખાઓ પણ રચાઇ છે. આચરણમૂલક અર્થશાસ્ત્ર આપણે શી રીતે નિર્ણયો લઈએ છીએ તે સમજવા સાથે સંબંધ ધરાવે છે. જ્યારે પ્રયોગમૂલક અર્થશાસ્ત્ર આપણા પર પ્રયોગો કરીને આપણા નિર્ણયોને લગતાં વિવિધ પૂર્વાનુમાનોને ચકાસે છે. જેમકે, આચરણમૂલક અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે આપણે સૌ તર્કસંગત પ્રાણીઓ છીએ અને ઓછામાં ઓછાં સંસાધનો વાપરીને મહત્તમ લાભ લેવા પ્રયત્નશીલ રહીએ છીએ. એ લોકો એમ પણ માને છે આપણને બધાંને ધનવાન અને સમૃદ્ધ થવું છે. એટલે નાણાં સંચાલિત અર્થવ્યવસ્થાથી અંતર પાળનાર કે સમૃદ્ધિનો સમૂળગો વૈરાગ્ય પાળનાર લોકો તેમને સમજાતાં નથી. તેની સામે, પ્રયોગમૂલક અર્થશાસ્ત્રીઓ વ્યક્તિઓને, અને સમુદાયોનાં જૂથોને, એવા ચોક્કસ સંજોગો હેઠળ પસાર કરીને અભ્યાસ કરે છે કે આપણે ખરેખર ‘તર્કસંગત’  નિર્ણયો જ લઈએ છે કે પછી હંમેશાં નાણાંકીય સંપત્તિ વધારતાં જ રહેવા સાથે સુસંગત આર્થિક નિર્ણયો જ કરતાં હોઇએ છીએ.

    જેમ વિશુદ્ધ વિજ્ઞાનશાખાનાં વિજ્ઞાનીઓ વિવિધ પ્રયોગો દ્વારા તેમનાં પૂર્વાનુમાનો ચકાસે છે તેમ પ્રયોગમૂલક અર્થશાત્રીઓ પણ આપણા પર કરાતા પ્રયોગો દ્વારા તેમનાં અનુમાનો ખરાં છે કે નહીં તે ચકાસે છે. આપણાં આચરણોનો એ લોકો અભ્યાસ કરે છે. એ લોકો માને છે આપણાં આચરણોને પદ્ધતિસર વિકાસાવાયેલ નિયમોમાં બંધબેસતાં કરી શકાશે, અને તેના પરથી સમષ્ટિ અર્થતંત્રના ગતિપ્રવાહોના વૈજ્ઞાનિક અભિગમોને સમજી શકાશે. એ લોકો આપણી વ્યક્તિ તરીકેની, તેમજ સામુહિક, અર્થવ્યવસ્થાને પણ સમજવાની કોશિશ કરતા રહે છે. એ અભ્યાસો પરથી એ લોકો એમ પણ માને છે કે તેઓ આપણને સમજાવી શકશે કે કેમ ઉચિત સમયે, યોગ્ય, આર્થિક, નિર્ણયો લઈને આપણાં જીવનને આપણાં વાંછિત સુખની સિદ્ધિ તરફ દોરતાં રહી શકાય.

    અંગત જીવનની અર્થવ્યવસ્થાના દૃષ્ટિકોણથી આપણે આશા કરીએ કે પ્રયોગમૂલક અર્થશાસ્ત્રીઓ આપણી આર્થિક નિર્ણય પ્રક્રિયાઓને, કે આપણાં જીવનમાં નાણાંની ભૂમિકા વિશે અને નાણાં બાબતે, તેમજ નાણાં સિવાયના, આપણા નિર્ણયોને વધુ સારી રીતે સમજે. જો આમ થવા લાગે તો તેઓ આપણને માત્ર આર્થિક પરિબળો તરીકે જોવાની સાથે ગ્રાહક, બચતકર્તાઓ, નિવેશકો, દાતાઓ કે એવાં ચોક્કસ સમુદાયોના સભ્યો તરીકેના આર્થિક, તેમ જ આપણા બિનઆર્થિક, નિર્ણયોને સારી રીતે સમજી શકશે. નાણાંપ્રધાન અર્થવ્યવસ્થાઓ ઉપરાંત બિનનાણાંપ્રધાન અર્થવ્યવસ્થાઓની આસપાસ રચાયેલ સમુદાયોમાંની આપણાં અંગત જીવનની અર્થવ્યવસ્થાને સારી રીતે સમજવાની દિશામાં આ મહત્ત્વની પહેલ બની રહી શકે છે. બહુખ્યાત નોબેલ પારિતોષિકનું વર્ષ ૨૦૨૧ માટે અર્થશાસ્ત્રનું પારિતોષિક એમ.આઈ.ટીના અભિજિત બેનર્જી અને એસ્થર ડફ્લૉને એનાયત થવું એ પ્રયોગમૂલક અર્થશાસ્ત્રનાં મહત્ત્વની વધતી જતી સ્વીકૃતિનું એક સ્વાભાવિક સૂચક છે.

    અર્થવિજ્ઞાનીઓને આપણે ખોટાં પણ પાડીએ છીએ !

    અર્થશાસ્ત્રીઓ પણ ઘણી વાર ખોટા પડતા હોય છે. ભાવ વધારાને કારણે ફુગાવાની અસરો કે નીચે તરફ ગતિ કરતાં આર્થિક ચક્રો જેવી અર્થવ્યવસ્થાની કેટલીય વ્યાપક ઘટનાઓની સચોટ આગાહીઓ તેઓ ઘણી વાર નથી કરી શકતા. જો તેઓ પુરેપુરી સ્પષ્ટતા સાથે આવાં આર્થક અનુમાનો કરી શકતા હોત તો શેરબજારોમાં જોવા મળતી ચચળતા કે બેંકોનાં અચાનક જ (!?) દેવાં ફુકવાં જેવી ઘટનાઓ બનતી જ ન હોત ! તેમ વળી, અર્થશાસ્ત્રીઓ આપણાં અંગત જીવનની અર્થવ્યવસ્થાના નિયમો પણ દર વખતે તારવી નથી શકતા. પરિણામે, ઘણી આર્થિક બાબતોમાં આપણા માર્ગદર્શક તરીકે અર્થશાસ્ત્રીઓ કંઈક અંશે ઊણા પડતા અનુભવાય છે.

    આપણા જીવનને સ્પર્શતી, પ્રત્યક્ષ અને પરોક્ષ, ઘટનાઓ વિશે અર્થશાસ્ત્રીઓ ખોટા પડવાનું એક કારણ એ છે કે અર્થશાસ્ત્ર ભૌતિક વિજ્ઞાન કે ગણિત જેવું નિરપેક્ષ વિજ્ઞાન નથી. એટલે તેમાં જે જે નિયમો ઘડવામાં આવ્યા હોય છે તે અમુક સંજોગો અને સંદર્ભોના પરિપ્રેક્ષ્યમાં ખરા નીવડે, એટલા થોડા અલગ સંજોગ કે સંદર્ભમાં ખરા ન પણ ઉતરે.  વળી, આપણે, દરેક વ્યક્તિ, આપણી જીવન પદ્ધતિ, વિચાર શક્તિ, નિર્ણય પ્રક્રિયા, જીવન પદ્ધતિ જેવી અનેક બાબતોમાં એકબીજાંથી એટલાં  અલગ છીએ કે આપણા નિર્ણયો કે પગલાંઓને પરંપરાગત અર્થશાસ્ત્રના એકસમાન માપદંડથી ન તો માપી શકાય કે ન તો  તેમના વિશે આગાહીઓ કરી શકાય. જીવનનાં સુખની આપણી પરિભાષાઓ જેટલી અલગ અલગ છે, તેટલી જ જીવનનાં સુખ પ્રાપ્તિનાં ધ્યેયને સિદ્ધ કરવાની આપણી રીતો આગવી છે. સામાન્યતઃ વ્યક્તિગત સ્તરે તર્કસંગત જ હોય તેવી વ્યક્તિ સામુહિક સ્તરે, ક્યારેક, સાવ બિન તર્કસંગત નિર્ણયો લેતી હોય છે. તો વળી, ઘણી વાર એનાથી સાવ ઉલટું પણ બનતું જોવા મળતું હોય છે. ખુબ ઊંચા વળતરવાળા વ્યવસાયોને છોડીને આર્થિક દૃષ્ટિએ થોડી સંકડામણ અનુભવાતી હોય તેવી પ્રવૃત્તિઓમાં મસ્ત રહેતાં કેટલાંય લોકો આપણી આસપાસ નજરે પડશે.

    એટલે આપણાં જેવાં સાવ અનપેક્ષિત રીતે વર્તતાં અસ્તિત્વો સાથે જેમને કામ કરવાનું હોવા છતાં પણ જેમની પાસેથી સામુહિક કે વ્યક્તિગત સ્તરની આર્થિક ઘટનાઓની ચોક્કસ, ભુલચુક વગરની, આગાહીઓ કરવાનીની જવાબદારી નિભાવતાં વ્યાવસાયિક અર્થશાત્રીઓ માટે આપણને ખુબ સહાનુભૂતિ હોવી ઘટે.

    અર્થશાત્રના ભાગ્યવિધાતાઓ અર્થશાત્રીઓ નહીં પણ આપણાં જેવાં સામાન્ય લોકો છે !

    ભૌતિક વિજ્ઞાનની બાબતોની જેમ, અર્થશાત્ર કે નાણાં નથી તો કુદરતી રીતે પેદા થયાં કે નથી તો ઉપરથી ટપકી પડ્યાં. અર્થશાસ્ત્ર માનવ સંબંધો અને આચરણોનું વિજ્ઞાન છે. નાણાં માનવીની પોતાની શોધ છે. આપણે આપણાં જીવનનાં જે નિર્ણયો,  જે રીતે કરીએ, છીએ તે મુજબ અર્થશાસ્ત્ર ચાલે છે. એ દૃષ્ટિએ, આપણા માટે આર્થિક નિયમો ઘડતા કે  વિજ્ઞાનની રચના કરતા વ્યાવસાયિક અર્થશાત્રીઓના હાથમાં નહીં, પણ આપણાં જેવાં સામાન્ય લોકો સ્વરૂપ આર્થિક પરિબળોના હાથમાં આર્થિક ઘટનાઓની દોર છે.  આપણી પોતાની અંગત અર્થવ્યવસ્થા ભલે ગમે તેટલી અવૈજ્ઞાનિક હોય, પણ તે આપણી પોતાની, માત્ર આપણા પોતાના માટેની, છે.

    સમષ્ટિ (સામુદાયિક) અર્થશાસ્ત્રનો આધાર  સામુહિક સ્તરે આપણે જે નિર્ણયો લઇએ છીએ, પગલાં લઇએ છીએ તેના પર છે. આપણે જે રીતે આપણી અંગત અર્થવ્યવસ્થા ગોઠવીએ છીએ તે વ્યષ્ટિ (સૂક્ષ્મ) અર્થશાસ્ત્રને ઘડે છે. વસ્તુઓ કે સેવાઓની આપણી ખરીદીઓ કે વેચાણો, નાણાં વડે સમૃદ્ધિ ઉપાર્જન કે બીનનાણકીય સંસાધનોના આપણા ઉપયોગ એ આપણા. પોતાના, આર્થિક નિર્ણયોની નીપજો છે.  આપણા આ અંગત આર્થિક નિર્ણયો, નાણાં વિશેના આપણા આગવા દૃષ્ટિકોણો વગેરે જેવી આપણી આર્થિક,  તેમ જ બિનઆર્થિક, ગતિવિધિઓ આપણને અર્થવ્યવસ્થાનાં ઘડવૈયા બનાવે છે.

    સામુદાયિક અર્થશાત્રની જે ઘટનાઓ પર આપણે ક્રિયા-પ્રતિક્રિયાઓ કરતાં હોઈએ છીએ તે વ્યાવસાયિક વિજ્ઞાનીઓએ ભલે વૈજ્ઞાનિક વિચારસરણીના આધાર પર રચેલ હોય, પણ સમગ્ર અર્થતંત્રનો એ બહુ નાનો સરખો હિસ્સો જ છે. તે સાથે સાથે, આપણાં પોતાનાં, વ્યક્તિગત અર્થશાસ્ત્રને, આપણી પોતપોતાની આગવી રીતથી, પણ આપણે અનુસરીએ છીએ. અર્થત્રંત્રનો આ હિસ્સો નાણાં સાથે સંકળાયેલો હોય પણ ખરો, કે પછી બિનનાણાકીય આર્થિક પરિસ્થિતિઓ અને નિયમોના સંદર્ભ સાથેનો પણ હોઈ શકે છે. આમ, આપણે સત્તાવાર અર્થતંત્ર અને વ્યક્તિગત અર્થતંત્ર એમ એકસાથે બે આર્થિક વિશ્વમાં વસીએ છીએ, તેમજ  સમષ્ટિ તેમજ વ્યષ્ટિ અંર્થંતંત્રનાં ઘડતરમાં, અને તેને ચાલતાં રાખવામાં, પણ ભૂમિકા ભજવીએ છીએ

    હકીકત એ છે કે અર્થશાસ્ત્રીઓ ઘણીવાર ફુગાવો અથવા જીવન ખર્ચ, અથવા નાણાંનું વાસ્તવિક મૂલ્ય જેવી સામુહિક સ્તરે બનતી આર્થિક ઘટનાઓની આગાહી કરવામાં પણ ખોટા પડે છે. આપણા વ્યક્તિગત અર્થશાસ્ત્રને માર્ગદર્શન આપતા નિયમોને સમજવામાં જ્યાં ઉણા પડતાં હોય ત્યાં આપણી  વિચારસરણી અને તેને આનુષિંક પગલાંઓ તેમની પુરી સમજમાં બેસે એ વાત તો જાણે છોડી દઇએ. પરંતુ, જો અર્થશાસ્ત્રીઓ વ્યક્તિગત આર્થિક ઘટનાઓને કારણે ઘડાતાં સૂક્ષ્મ અર્થશાસ્ત્રને ન સમજે, કે તેને ધ્યાન પર ન લે, તો જેના વિશે વિચાર કરવાની તેમની પ્રાથમિક જવાબદારી છે એવાં સમષ્ટિ અર્થતંત્ર વિશેનાં તેમનાં અનુમાનો અને નિયમો, અને એ રીતે આખું સમષ્ટિ અર્થતંત્ર તેમજ તેની આપણા પોતાના વ્યક્તિગત અર્થશાસ્ત્રની અંદરના આપણા દ્વારા લેવામાં આવેલા વિશાળ સંખ્યામાં નિર્ણયો, બાબતે એ લોકો ખોટા જ પડતા રહી શકે છે. વિશાળ સંખ્યામાં લેવાતા આપણા આ વ્યક્તિગત નિર્ણયો આપણે બધા અલગ અલગ વ્યક્તિઓ તરીકે લઈએ છીએ. ક્યારેક તો વળી  એકબીજાના નિયમો આમને સામને રદ થઈ જાય એવા જ નિર્ણયો લઈએ છીએ. આ બધાંનું એકંદર પરિણામ સમષ્ટિ અર્થત્રંતની બહુ મહત્ત્વની વાસ્તવિકતામાં પરિણમે છે.  સૂક્ષ્મ આર્થિક નિર્ણયોની આ સંખ્યા વિશાળ છે, જેની સ્પષ્ટપણે આગાહી કરવી ઘણી મુશ્કેલ છે.

    આપણા વ્યક્તિગત અર્થશાસ્ત્રના નિયમો ભૌતિક વૈશ્વિક કાયદાઓ નથી. આપણા નિયમો આપણે જ બનાવીએ છીએ, અને મીટાવીએ પણ છીએ. તેમ છતાં અર્થતંત્ર અને નાણાંની એક ચોક્કસ મર્યાદામાં રહીને  આપણા (નાણાં) જેલર અર્થતંત્રની આપણી જેલ માટે  તેમના નિયમો બનાવે છે. પરંતુ, સમાંતર રીતે, આપણાં વ્યક્તિગત અર્થશાસ્ત્ર સાથે સુસંગત આપણા  નિયમો આપણે ઘડી પણ શકીએ છીએ. આપણે ભલે અનુમાનિત નિયમોનું પાલન કરતી વૈજ્ઞાનિક સંસ્થાઓ નથી પણ આપણે એવાં સર્જનાત્મક માનવ અસ્તિત્વો છીએ,  જેઓ પોતાની ફિલસૂફી, પોતાની લાગણીઓ, અને પોતાના તર્કના આધારે આર્થિક નિર્ણયો લે છે. મજાની વાત એટલી જ છે કે, આવું બધું વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓની વૈજ્ઞાનિક શોધમાંથી છટકી જાય છે.

    વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ આપણા આર્થિક નિર્ણયોને સ્પર્શતા નથી. અને તેથી, તેઓ નાણાંની દ્રષ્ટિએ આપણા નિર્ણયોની અસરોને માપી શકતા નથી. તેઓ ખોટા પડવાનું આ બીજું કારણ છે. નાણાં સિવાયના આપણાં અન્ય સંસાધનોનો ઉપયોગ કરીને, નાણાં દ્વારા, તેમજ આપણી અન્ય પ્રેરણાઓ દ્વારા, સંચાલિત આર્થિક જેલનાં વાતાવરણની બહારના ઘણા નિર્ણયો  આપણે અસરકારક રીતે લઈ લઈએ છીએ. જ્યારે આપણે કોઈના પ્રેમમાં પડીએ છીએ, ત્યારે શું આપણે પૈસા વિશે વિચારીએ છીએ?  આપણને જ્યારે નોકરી દરમ્યાન કંઈક સરખું વાંકું પડે છે ત્યારે આપણી નોકરી છોડી દેવા સમયે ત્યારે શું આપણે પૈસા વિશે વિચાર કરવા રોકાઈએ છીએ? જ્યારે આપણે મોંઘાં ઉત્પાદનો અને સેવાઓ ખરીદીને તેનો  વપરાશ કરતાં હોઈએ છીએ, ત્યારે શું આપણે તર્કસંગત હોઈએ છીએ ? આપણી બચત અથવા સંપત્તિને મહત્તમ કરવાનો એ સમયે વિચાર કરીએ છીએ ખરાં? જ્યારે આપણે આપણી સંપત્તિનો મોટો હિસ્સો દાન કે સખાવત રૂપે આપવાનો નિર્ણય લેતાં હોઈએ છીએ, ત્યારે શું આપણે પૈસા વિશે તર્કસંગત હોઈએ છીએ? અર્થશાસ્ત્રીઓ ફક્ત આપણા નાણાં આધારિત નિર્ણયો પર આવી અટકી જાય છે, જ્યારે દેખીતી રીતે આપણા જે અતાર્કિક આર્થિક નિર્ણયો છે તેને તેઓ નજ઼રઅંદાજ કરી લે છે..

    આપણા માર્ગદર્શક બનવા જતાં અર્થશાસ્ત્રીઓ તેમનાં સામુદાયિક અર્થતંત્રનું ચોકઠું આપણા સૂક્ષ્મ અર્થતંત્ર સાથે બેસાડી દેતા હોય છે.

    જ્યાં સુધી વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ તેમના સમષ્ટિ અર્થતંત્રને આપણાં રોજબરોજનાં વ્યક્તિગત અર્થશાસ્ત્ર સાથે વણાયેલ વ્યષ્ટિ અર્થતંત્ર સાથે સાંકળશે નહીં, ત્યાં સુધી તો તેઓ છાસવારે ખોટા પડતા રહેશે.. અર્થશાસ્ત્રના વિજ્ઞાને આપણે વ્યક્તિઓ તરીકે, અથવા સમુદાય તરીકે, અનુસરીએ છીએ તે વ્યક્તિગત અર્થશાસ્ત્ર સાથે પોતાનું અનુકૂલન સાધવું પડશે. આર્થિક સંશોધકો અને શિક્ષણવિદોએ અભ્યાસ કરવો પડશે કે કેવી રીતે સૂક્ષ્મ અર્થશાસ્ત્ર તેમના સામુહિક અર્થસાસ્ત્રને અસર કરે છે. આર્થિક સલાહકારો દ્વારા સંચાલિત અર્થતંત્રો આપણા વ્યક્તિગત સ્તરે કેવી રીતે બદલાઈ શકે છે તે મુજબનાં વ્યક્તિગત અર્થશાસ્ત્રના માળખાને ધ્યાનમાં લેવું પડશે. આર્થિક સલાહકારોને અનુસરતી સરકારો છે, સંશોધકો અને શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટીઓના અર્થશાસ્ત્રના પ્રાધ્યાપકો વગેરેના શૈક્ષણિક અર્થશાસ્ત્રી સમુદાયો તેમજ વિદ્યાર્થીઓ એ બધાએ વ્યક્તિ દ્વારા દોરવાતાં સૂક્ષ્મ અર્થશાસ્ત્રને અનુસરવું પડશે અને તેને પોતાનાં વૈજ્ઞાનિક સમાષ્ટિ અર્થતંત્ર સાથે જોડવું પડશે. ભૂલની ઘટનાઓ ઘટાડવાનો અને સમષ્ટિ અને વ્યષ્ટિ અર્થવ્યવસ્થાઓની દુનિયા વચ્ચેનું અંતર ઓછું કરવાના ઉદ્દેશ્ય તે સિવાય સિદ્ધ કરવા અશક્ય બની રહેશે. આર્થિક ઘટનાઓની આગાહી કરવાના પ્રયાસ કરતી વખતે આપણા સર્જનાત્મક, અવૈજ્ઞાનિક, અતાર્કિક મંતવ્યોને પણ ધ્યાનમાં લેવા જોઈશે.

    જ્યાં સુધી અર્થશાસ્ત્રીઓ સૂક્ષ્મ અર્થશાસ્ત્રના અભ્યાસની આ શાખાને અસરકારક રીતે આગળ ન ધપાવે ત્યાં સુધી તેમની આર્થિક સલાહ હંમેશા આપણા માટે વિશ્વાસપાત્ર રહેશે નહીં. જ્યાં સુધી વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણમાં આપણી વ્યક્તિગત અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલ વ્યષ્ટિ અર્થશાત્રનાં સ્થાનનું મહત્ત્વ ન બને ત્યાં સુધી  આપણાં જીવનની ખુશીઓ તરફનાં માર્ગદર્શન માટે વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ પર આધાર રાખવાનો ખાસ અર્થ નથી.


    ક્રમશઃ


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • કાર્ટૂનકથા : [૨]

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ઊધઈ ઊવાચ

    વાર્તાવ્યંગ્ય

    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • શ્રદ્ધાંજલિ રેખાંકનો [૨]

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah – Tribute Sketces -2


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • જાળ

    રક્ષા શુક્લ 

    સોનાની જાળ તમે પાણીમાં નાખો, પણ પાણીની પ્હોંચ કદી ચાખો ?
    પાણી તો મંદ મંદ વહેવાનું નામ, એને નાણવાની બારી કાં વાખો ?

    પાણીનું સપનું તો નાયગરા ધોધ, પછી કૂદ્યું તો લોહીઝાણ વારતા,
    દરિયો તો ઠીક, પછી નદિયું ને ઝરણાં ને ધોધડિયું આવીને ડારતાં.
    પાણીનું પોત જરા ધીરેથી અડકો ને ધીરેથી પહેરવાનું રાખો.
    સોનાની જાળ તમે પાણીમાં નાખો, પણ પાણીની પહોંચ કદી ચાખો ?

    પાણી તો પરપોટે પરપોટે તૂટે, પણ ધરપતના કાંઠાઓ છૂ,
    રણઝણતી લાગણિયું વાડ્યું જ્યાં ઠેકે, ત્યાં એમાંથી ફોરે છે બૂ.
    પળમાં જે છૂટે ને પળમાં વછૂટે, એ ભાયગનું ભાવી કાં ભાખો ?
    સોનાની જાળ તમે પાણીમાં નાખો, પણ પાણીની પહોંચ કદી ચાખો ?


    સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

  • ઊર્મિલ સંચારઃ પ્રકરણ – ૭. મલ્હાર

    અંજલિ માહીની બિમારીના સમાચાર સાંભળી ભારત જવાને બદલે ડોક્ટરની ઓફિસમાં આવેલી જોઈ શોમને આશ્ચર્યાનંદ થાય છે. આયુર્વેદિક ઔષધીઓ તૈયાર કરતી અંજલિને રાકેશ ઓચિંતા આવીને ડરાવે છે. શોમની મદદથી રાકેશને અમેરિકાથી નીકળી જવામાં મદદ મળે છે. અંજલિ એક પત્ર શોમના રૂમમાં છોડી જાય છે. ત્યારે… 

    સરયૂ પરીખ

     અંજલિને એરપોર્ટ પર ઉતારીને શોમ સ્ટિવન અને આરીને મળ્યો. શોમ ઉદાસ અને ખોવાયેલો લાગતો હતો. “કેમ દોસ્ત, આ સ્કાર્ફ ક્યાંથી?” એમ કહેતા આરીએ તેના ખીસામાંથી આછા ગુલાબી રંગનો સ્કાર્ફ ખેંચી કાઢ્યો. જાણે કોઈ મૂલ્યવાન વસ્તુ જતી રહી હોય તેવી ત્વરાથી શોમે સ્કાર્ફ પાછો લઈ લીધો. સ્ટિવ કહે, “અરે!! કહે તો ખરો, આ ક્યાંથી આવ્યો?”

    “એરપોર્ટ પર હું અંજલિને બેગ આપી રહ્યો હતો ત્યારે આ સ્કાર્ફ સરી પડ્યો અને મેં ઝીલી લીધો. મેં હાથ લંબાવ્યો પણ તે સ્કાર્ફ લીધા વગર…આછું સ્મિત આપીને જતી રહી.” શોમ વિયોગની મીઠી વેદનામાં ખોવાઈ ગયો.

    એ રાતે શોમ મોટીબહેન નીના સાથે તેના અંતરની દરેક વાત કરી ચૂક્યો. મુંબઈમાં દાદાજીના અવસાનને વરસ થયું હતું. “નીના, આજે દાદાજીની બહુ યાદ આવે છે.” કહેતા શોમનો કંઠ ભરાઈ ગયો અને આગળ બોલી ન શક્યો. તેને નિરાશામાંથી બહાર લાવવા નીનાએ બને તેટલી અયનની વાતો કરી પણ ખાસ ફાયદો ન થયો. માતાની માંદગી, અંજલિનો વિયોગ અને દાદાજીની યાદ તેને ધ્યાન તરફ દોરી ગયા. શોમ તેની ગમતી ગાદી પર બેઠો અને પસાર થતાં વિચારોને તટસ્થ ભાવથી જોઈ રહ્યો. એ જગ્યાએ જ ક્યારે ઊંઘી ગયો તે ખબર ન પડી.

    એ પછીના દિવસો શોમ માટે ચિંતાજનક રહ્યાં. માહીને વધારે ટેસ્ટ કરાવવા અને શું ઉપાય કરવા તે યોજનાઓમાં શોમ વ્યસ્ત રહેતો. કેલિફોર્નિયા્થી નીનાના અનેક સવાલો ચાલુ રહેતા. નીના પોતાની મમ્મીને મળવા હ્યુસ્ટન આવવા અધીરી થતી હતી પણ અઢી વર્ષના અયનની અને રૉકીની અનુકૂળતાનો પણ વિચાર કરવાનો હતો.

    બે સપ્તાહ પછી તપાસ માટે માહીને રમેશ હોસ્પિટલ લઈ આવ્યા અને શોમની પાસે મૂકીને ગયા. શોમ અને તેની મમ્મી ડોક્ટરની ઓફિસમાં નવા પરિણામો જાણવા ઉત્સુક હતા.

    “સારા સમાચાર એ છે કે ટ્યુમરનું કદ વધ્યુ નથી. બસ, મીસીસ જોષી, તમે જે કરી રહ્યા છો તે ચાલુ રાખો. હવે ત્રણ સપ્તાહ પછી ફરી મળશું.” સૌનો ઉચાટ ઓછો થયો અને માહીના ચહેરા પર હાસ્ય ફરક્યું.

    ઘેર પાછા ફરતાં માહી બહુ વાતો કરવાના તાનમાં હતી. “આજે સવારે મોટાકાકાનો મુંબઈથી ફોન હતો. અંજલિ તેના મામાને ઘેર મુંબઈ આવેલી હતી. મોટાકાકા કહેતા હતા કે, તેમને મળવા આવી હતી અને આખો દિવસ જોષી પરિવાર સાથે પસાર કર્યો હતો. બધા અંજલિને મળીને ખુશ ખુશ થઈ ગયા.”

    “અરે વાહ! અંજલિ હંમેશા મને આશ્ચર્યચકિત કરતી રહે છે.” શોમનું મન મીઠો ગુંજારવ કરવા લાગ્યું. “મને એટલી ખબર પડે કે એ ખરેખર શું વિચારી રહી છે…તો રસ્તો નીકળે.”

    “બેટા, તારે જરા વધારે તપ કરવાનું બાકી હશે…વિશિષ્ટ વ્યક્તિ એમ સહેલાઈથી ન મળે.” માહીએ હસતાં હસતાં શોમનો કાન ખેંચ્યો. “અચ્છા, આજે બહુ દિવસે આવ્યો છે તો તારી ગમતી વાનગીઓ બનાવીશ.”

    “બહુ તકલીફ નહીં લેવાની…આ ડોક્ટરનો આદેશ છે.”

    વરસાદ અને વીજળીના મલ્હાર મોસમમાં સાંજનું જમણ સાથે કર્યા બાદ, શોમ તેના રૂમમાં પુસ્તકો અને કપડાની ગોઠવણ કરી રહ્યો હતો. બારીમાંથી વીજળીનો ચમકારો ટેબલ પર પડેલ પુસ્તકને ઉજાળી ગયો. શોમ ઉદાસીન ભાવથી અંજલિએ પરત કરેલ પ્રેમ-ગુંજન પુસ્તક સામે જોઈ રહ્યો.

    ઉન્મત વિચાર, નિર્વિચારમાં નમાવીને,
    ડંખતી ફરિયાદ, નીરવ યાદોમાં વારીને,
    વસમાં  વિયોગને, સુરાગમાં સમાવીને,
    અંતર અંગતને, અજાણ જન બનાવીને
    હું જીવતા શીખી જઈશ.

    પોતાના હાથને પરાણે લંબાવી તેણે પુસ્તક ઉઠાવ્યું, અને એક કાગળ નીચે સરી પડ્યો. ‘અરે આ તો અંજલિના હસ્તાક્ષર છે.’ ધડકતા દિલથી તેણે વાંચવાનું શરૂ કર્યું.

    “પ્રિય શોમ, હું જઈ રહી હતી, પણ જાણે મારા સારા નસીબથી, આકસ્મિક સંજોગોએ મને અહીં રોકી લીધી. એક સપ્તાહમાં ઘણું બની ગયું, કદાચ મારી જિંદગી બદલાઈ ગઈ. તારો અને અંકલ-આન્ટીનો નવો પરિચય થયો. જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે મજબૂત પરિવાર કેવી રીતે અન્યોન્યની કાળજી લે છે તે મેં જોયું. છેક કેલિફોર્નિયાથી બહેન નીના કેટલી નજીક લાગે છે! હું મારું સૌભાગ્ય ગણું છું કે હજી પણ જોષી પરિવાર મને આવકારે છે.

    ઓ’મારા પ્યાર! હું જતાં જતાં એ કહેતી જાઉં છું કે હવે મારા માટે શોમ સિવાય બીજો કોઈ જીવનસાથી હું કલ્પી નથી શકતી. નિર્ણય લેવાનું તારા પર છોડું છું. તને વિચાર કરવા પૂરતો સમય મળી શકે તેથી આ પત્ર છોડી જાઉં છું. …આતુરતાથી તારા જવાબની રાહમાં…અંજલિ.”

    શોમ ‘યાહૂ’ની બૂમ પાડી તેના રૂમમાંથી બહાર ધસી આવ્યો, “એ મને પ્રેમ કરે છે!!!” કહેતો પાછલું બારણું ખોલી, વરસાદમાં આમતેમ, અહીંતહીં ઝૂમી રહ્યો. રમેશ અવાજ સાંભળી બેઠક રૂમમાં આવ્યા અને કાચના દરવાજાની બહાર જોઈ રહેલી માહીને આશ્ચર્યથી પૂછ્યું, “શુ થયું તારા પ્રિન્સને?”

    “’એ મને ચાહે છે’ કહીને દોડ્યો. જુઓ તો કેવો વરસાદમાં ભીંજાઈ રહ્યો છે!” અને માતા-પિતા આનંદમાં પાગલ પુત્રને કાચના બારણાં પાછળ ઊભાં ઊભાં જોઈ  રહ્યાં. શોમના ફફડતા હોઠ શું બોલી રહ્યા છે તેની ધારણા કરી રહ્યાં…

    સુજલ વર્ષા વંટોળની વચાળ,
    વીજ ઘેલી  નહીં  રોકી રોકાય,
    દ્યુત પલમાં તૃપ્ત ને તરબોળ,
    આજ  સંપૂરણ  સૃષ્ટિ રસરોળ.

    શોમને તેની મસ્તીમાં છોડી માતા-પિતા પોતાના કામમાં હોય તેવો દેખાવ કરવામાં વ્યસ્ત થઈ ગયાં. થોડા સમય પછી ફોન પર વાતો કરવાનો હળવો અવાજ આવતો હતો.

    શોમે કપડાં બદલી તરત ગોઆ ફોન જોડ્યો હતો. “હલ્લો, વ્હાલી! હમણાં જ તારો પત્ર વાંચ્યો…”

    “પણ આટલા બધા દિવસોની વાર કેમ? હું તો અહીં મરી રહી હતી.” અંજલિ અત્યાનંદથી બોલી.

    શોમે ખુલાસો કર્યો અને પછી મીઠી ગોષ્ટીમાં લાંબો સમય નીકળી ગયો.

    “હું હમણાં જ દરિયાકિનારે ચાલીને આવી. અરૂણોદય જોતાં કલાપીની પંક્તિઓ મારા હૈયામાં ગુંજી ઊઠી… “ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;” હું ખુલ્લા અવાજે ગાઈ રહી હતી જાણે તું ત્યાં સાંભળવાનો હોય! મને ભણકારા વાગતા હતા કે આજે કંઈક ખાસ થવાનું છે.”

    “મને આ બધા મધુરા શબ્દો સમજાયા નહીં. ત્યાં આવું ત્યારે એ જ સાગર કિનારે મને સમજાવજે. ત્યાં સુધી મીઠા સપના…”

    અંજલિ ખુશ થઈને બોલી, “આ સમાચાર કહેવા મમ્મી પાસે દોડી જાઉં, મારે અત્યારે જ આલિંગન જોઈએ છે…પણ તું નહીં, તો મમ્મી. je t’aime…”

    “હું પણ તને પ્રેમ કરું છું. વાહ! ફ્રેંચ આવડે છે…પોંડિચેરીમાં રહ્યાનો લાભ. ફરી વાત કરશું”

    લગભગ સુવાનો સમય થવા આવ્યો હતો. રમેશ અને માહી શિવકુમારનું સંતૂર સાંભળી રહ્યા હતા. શોમને બહાર આવતો જોઈ સંગીત ધીમું કરી તેની વાત ઉત્સુકતાથી સાંભળવા તૈયાર થઈ ગયાં.

    “મોમ, ડેડ, અંજલિ અહીં એક પત્ર મૂકી ગઈ હતી જે મેં આજે વાંચ્યો. અમે એકબીજાથી આજે વચનબદ્ધ થયા અને લગ્ન કરવાનું નક્કી કર્યું છે.” શોમનું વાક્ય પૂરું થતા જ બંને જણાએ વ્હાલથી દીકરાને બાથમાં લઈ લીધો.

    “અમને બધી વાત કર…તેનાં મમ્મીને, મારા મુસ્લિમ હોવા સામે, કોઈ વાંધો તો નથી ને?” માહીએ પૂછ્યું.

    “મેં અંજલિને તે વિષે પૂછ્યું તેના જવાબમાં તેણે કહ્યું કે તેનાં મમ્મી-પાપા હંમેશા માનતાં આવ્યાં છે કે સૌથી ઊંચો માનવધર્મ છે. લોકોએ ધર્મના વાડા બનાવેલાં છે, તેમાં તમારો ધર્મ જ ઉત્તમ છે તેવું કેવી રીતે માની શકાય?”

    “અંજલિ આવા વિચારોવાળા માતા-પિતાની જ દીકરી હોઈ શકે, તે સ્પષ્ટ થાય છે.” રમેશ બોલ્યા.

    ત્યાર બાદ ફોન પર નીના અને રૉકી અને પાછળ અયનનો અવાજ સૌના આનંદના તરંગોને વીંટળાઈ વળ્યો. બે ચાર દિવસો આમ આનંદના નશામાં પસાર થઈ ગયાં. નવેસરથી અંજલિના મમ્મી સાથે શોમનો પરિચય કરાવવામાં આવ્યો. વૈદ્ય ભાણજીના મુક્ત હાસ્ય અને આશિર્વાદનો શોમને અવારનવાર લાભ મળવા લાગ્યો.

    થોડા સપ્તાહને અંતે નીના, રૉકી અને અયન હ્યુસ્ટન આવ્યા. માહીના ચેકઅપનો સમય નજીક આવી રહ્યો હતો. એ સાંજે માહીની તબિયતની ચર્ચા થયા પછી, શોમ અને અંજલિના ભવિષ્યની વાતો થવા લાગી.

    “ભઈલા, તેં અંજલિ માટે કંઈક વિશેષ કર્યું કે નહીં?” નીના બોલી.

    શોમ મૂંઝવણમાં પડી ગયો, “શું કરું?”

    “શોમ, સગપણની રસમ બાકી છે ને, તો એ વિશે વિચાર.” રૉકીએ સૂચન કર્યું.

    માહી અને રમેશ આઈસ્ક્રીમ લઈને આવ્યાં અને બધા વાતો ભૂલીને ખાવામાં મશગૂલ થઈ ગયાં. શોમ ઊઠીને ઘરની અંદર ગયો. થોડીવારમાં લગભગ દોડતો બહાર આવીને કહે,

    “બધું ગોઠવાઈ ગયું છે.”

    “વાહ! અમને જલ્દી જણાવ તો ખરો,” નીના બોલી.

    “શાંતી, શાંતી, બહેના! થોડી રાહ તો જો…” શોમ આરામથી આઇસ્ક્રીમ ખાતો મીઠી મુસ્કાન સાથે…નીનાની અકળામણ જોઈ રહ્યો.


     ——      કમશઃ


    સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com

     

  • હસરત જયપુરી – શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ગીતો : ૧૯૬૧

    વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    હસરત જયપુરી (મૂળ નામ – ઈક઼બાલ હુસ્સૈન- જન્મ: ૧૫ એપ્રિલ, ૧૯૨૨ | અવસાન: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯) બહુ સહજ કવિ હતા. ફિલ્મોમાં ગીતકારની ભૂમિકામાં પોતાને ગોઠવી લીધા પહેલાં, અને પછી પણ, તેઓ ‘કવિ’ તો રહ્યા જ હતા. ફિલ્મોમાં પરિસ્થિતિની માંગ મુજબ તેઓ ઉર્દુની છાંટ સાથે રોમેંટીક ગીતો લખતા, ગીતોના બોલ લોકભોગ્ય રહે તે વિશે ખાસ પણ રાખતા હશે. પણ તેને કારણે તેમનામાંનો ‘કવિ’ ક્યારે પણ મુર્ઝાઈ ન ગયો. તેમને ગીતકાર સિવાય પણ ઓળખતા ઉર્દુ પદ્યના જાણકારોમાં તેમનું સ્થાન હંમેશાં માન ભર્યું રહ્યું.

    કવિ હોવા છતાં તેમનાં નાણાંની જરૂરિયાત વિશેની કોઠાસૂઝ પણ કંઈ કમ નહોતી. ફિલ્મોનાં ગીતો લખવાથી થતી આવકની બચતમાંથી તેમણે રિયલ એસ્ટેટમાં એ પ્રકારે રોકાણો કર્યાંકે તેમના ગીતકાર સિવાયના મુખ્ય આવક સ્રોત ઉપરાંત બીલકુલ અલગ જ પ્રવાહમાંથી આવતી આવક તેમના ગીતકાર તરીકેના નબળા દિવસોમાં પણ પોતાનં કુટૂંબની જરૂરિયાતો પુરી કરી શકે.

    શૈલેંદ્ર સાથે શંકર જયકિશન સાથે ૧૯૦થી વધુ ફિલ્મોનાં ગીતો લખવા ઉપરાંત તેમણે અન્ય સંગીતકારો સાથે પણ સંખ્યાત્મક અને ગુણાત્મક સ્તરે એટલું જ માતબર કામ કર્યું. તેમણે અન્ય સંગીતકારો માટે રચેલાં ગીતો પૈકી ઓછાં સાંભળવા મળતાં ગીતોને આપણે દર એપ્રિલ મહિનામાં વર્ષ ૨૦૧૭થી શરૂ કરીને. હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે રચેલાં ઓછાં સાંભળવા મળતાં ગીતો આપણે ખાસ કરીને સાંભળ્યાં છે . અત્યાર સુધી આપણે

    ૨૦૧૭માં ૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોનાં,

    ૨૦૧૮માં ૧૯૫૩થી ૧૯૫૫નાં વર્ષોનાં,

    ૨૦૧૯માં ૧૯૫૬ અને ૧૯૫૭નાં વર્ષોનાં,

    ૨૦૨૦માં ૧૯૫૮નાં વર્ષનાં, ,

    ૨૦૨૧માં ૧૯૫૯નાં વર્ષનાં અને

    ૨૦૨૨માં ૧૯૬૦નાં વર્ષનાં

    સાંભળ્યાં.

    આજના અંકમાં આપણે હસરત જયપુરીએ હુસ્નલાલ ભગતરામ, એસ એન ત્રિપાઠી અને ઈક઼્બાલ ક઼ુરૈશી માટે રચેલાં  વર્ષ ૧૯૬૧નાં કેટલાંક ગીતો યાદ કરીશું.

    હુસ્નલાલ ભગતરામ

    ફિલ્મ: અપ્સરા

    હર દમ તુમ્હીંસે પ્યાર કિયે જા રહી હું – આશા ભોસલે, તલત મહમુદ

    હુસ્નલાલ ભગતરામના અંતકાળ અને હસરત જયપુરીના મધ્યાહ્નના સમયનાં આ જોડાણે આપણને તલત મહમુદ અને આશા ભોસલેનાં  એક સાવ જ સ્મૃતિલોપમાં ધરબાઈ ગયેલ ગીતની વિરલ ભેટ આપી છે.

    એસ એન ત્રિપાઠી

    ફિલ્મ: જાદુનગરી

    ખુબ પ્રતિભાવાન હોવા છતાં પણ બી અને સી ગ્રેડની ફિલ્મોનાં સંગીત વડે  જેમણે પોતાની કારકીર્દીને ટકાવી રાખી એવા અનેકવિધ પ્રૈભામુખી સંગીતકારની એક વધારે સી ગ્રેડની ફિલ્મ માટે પણ સફળતાનાં મધ્યાહ્ને હસરત જયપુરીએ ન તો ગીતો લખવાનો છોછ રાખ્યો કે ન તો ગીતોનાં પોતાનાં ધોરણ જોડે કોઈ બાંધછોડ કરી.

    આખેં મેરી જાદુ નગરી રૂપ રંગીલા જાદુ ઘર…..વહી દેખે પ્યાર કે સપને ડાલ દું જિસપે એક નજ઼ર – લતા મંગેશકર

    દ્રુત લયમાં સજાવેલ આ નૃત્ય ગીત માટ ઈસ એન ત્રિપાઠીએ મુખડાની રચના મધય પૂરવનાં સંગીતની ધુન પર કરી છે પણ અંતરામાં એ અસર સીધી નથી દેખાતી.

    હસરત જયપુરી તો ફિલ્મનાં ટાઈટલને ગીતના બોલમાં વણી લેવા માટે જાણીતા છે જ !

    લુટ લિયા રે જિયા લુટ લિયા રે…. ગોરી ગોરી ચાંદની કા કોઇ કામિની કા મીઠી મીઠી રાગીની સે લુટ લિયા – આશા ભોસલે

    ભવ્ય સેટ સાથે સ્વપ્નગીતનાં સ્વરૂપે રચાયેલાં નૃત્ય ગ્તને એસ એન ત્રિપાઠીએ કલ્પનાશીલ સર્જનાત્મકતાથી વણી લીધેલ છે.

    જાદુ ભરે તોરે નૈન કતીલે હમ પર જ઼ુલમ કરેં – મહેંદ્ર કપૂર, આશા ભોસલે

    નૃત્ય ગીતને એસ એન ત્રિપાઠીએ યુગલ ગીતમાં વણી લીધું છે.

    નીગાહોંમેં તુમ હો …. ખયાલોમેં તુમ હો …. જિધર દેખતી હું નજ઼ર આ રહે હો – લતા મંગેશકર

    ગીતના બોલમાં સાખીના પ્રયોગ હસરત જયપુરીની શૈલીની એક આગવી પહેચાન રહી છે.

    કૈસે વિદેશી સે નૈના લડે હૈ ….. એક પલ ભી આયે ના ચૈન રે – લતા મંગેશકર

    બોલની અનોખી રચના પણ ગીતમાં વણી લેવાની હસરત જયપુરી આગવી લાક્ષણિકતા રહી છે.

    દેખો આયી બસંત બહાર ……  કે જિયા મોરા તુમ કો પુકારે હૈ ઓ સજના – લતા મંગેશકર

    ગીતના ભાવને સરળ બોલમાં વણી લેવાની હસરત જયપુરીની ખુબી અહીં ઉભરી આવે છે.

    ઈક઼બાલ ક઼ુરૈશી

    ફિલ્મ: ઉમ્ર ક઼ૈદ (૧૯૬૧)

    ઈક઼બાલ ક઼ુરૈશી પણ ખુબ જ પ્રતિભાવાન હોવા છતાં બહુ થોડી ફિલ્મોમાં ચમક્યા બાદ બુઝાતા ગયેલા સંગીતકારોની હિંદી ફિલ્મ ક્લબના સભ્ય છે. હિંદી ફિલ્મોની નિયતિને કેવી વક્રતા છે કે ૧૯૫૮માં ‘પંચાયત’ (તા થૈયા કરકે આના – લતા મંગેશકર , ગીતા દત્ત) થી ફિલ્મ જગતમાં પદાર્પણ કર્યા બાદ બિંદિયા, ૧૯૬૦ (મૈં અપને આપ એ ઘબરા ગયા હું – મોહમ્મદ રફી), લવ ઈન સિમલા, ૧૯૬૦ (દર પર આયેં હૈ ક઼સમ લે – મુકેશ) , ચા ચા ચા ,૧૯૬૪ (સુબહ ન આઈ શામ ન આઈ, વો હમ ન થે વો તુમ ન થે – મોહમ્મદ રફી) જેવાં ગીતોના સર્જક ગુમનામીની ગર્તામાં ધકેલાઈ ગયા.

    ફિલ્મનાં મુખ્ય કલાકારો સુધીર (મુઝે રાત દિન યે ખયાલ હૈ , મુકેશ), નઝીમા (ઓ પિયા જાના ના … મેરી આંખોંકી નીંદે ચુરાના ના – આશા ભોસલે) અને હેલન (ખુબ સશક્ત પાત્રાલેખન સાથેની ભૂમિકા)ની કારકિર્દીને અનુક્રમે વિલનના ગોઠીયા, હીરો કે હીરોઈનની બહેન કે ક્લબ ડાંસર જેવી ‘ઉમ્ર ક઼ૈદ’ની સજામાંથી જરા પણ રાહત ન અપાવી શક્યાં.

    સુનો જી એક બાત તુમ હમારા દિલ હુઆ હૈ ગુમ – મુકેશ, સુમન કલ્યાણપુર

    રૂઠવું મનાઇ જવું એ હિંદિ ફિલ્મોમાં પ્રેમનિ એકરાર કરવા માટેનું બહુ હાથવગું સાધન હતું. સામાન્યપણે એ માટે પિકનીક કે બાગ બગીચાની મુલાકાતો પસંદ કરાતી, પણ અહીં બીચારાં યુવાન પ્રેમીઓએ (સેટ પરનીનાં) ઘરની અગાસી પર જ ગીત ગાઈ લઈને સંતોષ માની લેવો  પડ્યો છે !

    દિલ વહાં હૈ જહાં હો તુમ આઓ ન કહાં હો તુમ – આશા ભોસલે

    ફિલ્મમાં ખુબ સશક્ત પાત્ર અને ખાસ્સો મોટો રોલ મળવા છતાં હેલનના ભાગે ગીત તો ક્લબમાં જ ગાવાનાં આવ્યાં.

    કૈસી બેખુદી કા સામના … દેખો અપને દિલ કો સામના કરના આ ગયા – આશા ભોસલે

    ગીતની રચના ક્લબનાં ગીત તરીકે ન કરાઈ હોત તો પ્રેમના એકરાર માટેનું એક બહુ અનોખું ગીત બની શક્યું હોત, પણ હેલનની ઓળખ ક્લબ ડાંસર તરીકે જ થવા જ સર્જાઈ હશે એટલે ગીતને ક્લબનાં નૃત્ય ગીત તરીકે ગોઠવી દેવાયું !

    શમા જો જલતી હૈ પરવાને ચલે આતે હૈં, હમ અપની આગમેં ખુદ કો જલાયે જાતે હૈં….. દિલકા ફસાના કોઈ ન જાના અપની ખુશીમેં જૂમે જમાના    – મહેંદ્ર કપૂર, આશા ભોસલે

    હસરત જયપુરીની મદહોશ કરતી સાખીથી ઉપાડ થતી કવ્વાલી પણ એ સમયે રેડીયો પર ઠીક ઠીક પ્રચલિત થયેલી. જોકે ગીતની વિડીયો ક્લિપમાં મોહન ચોટીને મજાકીયા અદાઓમાં ગીત ગાતાં જોઈને ગીતની મજા માણતાં માણતાં મોઢામાં કાંકરો ચવાઈ જવા જેવું અનુભવાય છે…….

    બંબઈ પુરાની કલકત્તા પુરાના …… જૈસી મેરી નાનીજી વૈસે મેરે નાના – મોહમ્મ્દ રફી, કમલ બારોટ

    શેરી ગીતને હસરત જયપુરી હલકા ફુલકા બોલથી સજાવી દે છે

    ૧૯૬૧ના વર્ષમાં હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે લખેલાં હજુ પણ કેટલાંક ગીતો હવે પછીના મણકામાં …..

  • ફિલસુફીભર્યા ગીતો – ૯ – रात गई फिर दिन आता है .. इसी तरह … ये सारा जीवन जाता है

    નિરંજન મહેતા

    ૧૯૫૪ની ફિલ્મ ‘બૂટપોલીશ’નુ આ ગીત હતાશ બાળકોને સંબોધીને ગવાયું છે.

     

    रात गई
    ओ रात गई फिर दिन आता है
    इसी तरह आते जाते है
    ये सारा जीवन जाता है

    कितना बड़ा सफर दुनिया का
    एक रोता एक मुस्कुराता है (२)
    कदम कदम रखता ही राही
    कितना दूर चला जाता है

    एक एक तिनके तिनके से
    पंछी का घर बन जाता है

    कभी अँधेरा कभी उजाला (२)
    फूल खिला फिर मुरजाता है
    खेला बचपन हँसी जवानी (२)
    मगर बुढापा तडपता है (२)

    सुख दुःख का पहिया चलता है
    वही नसेबा कहेलाता है

     

    બાળકોને જીવનની ફિલસુફી સમજાવતા આ ગીતમાં ડેવિડ જણાવે છે કે જેમ રાત જાય અને સવાર આવે તેમ આ જીવનનો ક્રમ પણ ચાલતો રહે છે અને પૂરૂ જીવન વ્યતિત થઇ જાય છે.

    જેમ પંખી એક એક તણખલાથી પોતાનો માળો બનાવે છે તેમ આ જગતની લાંબી મુસાફરીમાં એક એક ડગલું ભરતા મનુષ્ય કયાનો ક્યા નીકળી જાય છે તેની તેને ખબર જ નથી રહેતી.

    જેમ ફૂલ ખીલીને કરમાઈ જાય છે તેમ સમજી લો કે રાત અંધારી હોય છે તો તેની પછી ઉજાશવાળો દિવસ હોય છે

    બાળપણ નિર્દોષ હોય છે અને રમતમાં વીતે છે અને તે જ રીતે યુવાની મજાક મસ્તીમાં વીતી જાય છે પણ જ્યારે બુઢાપો આવે છે ત્યારે માનવી તડપતો રહે છે. આમ સુખ અને દુઃખનું ચક્ર ચાલતું રહે છે અને તેને નસીબ કહે છે.

    આ ગીતનો પૂર્વાધ છે. ત્યારબાદ નાસીપાસ થયેલા બાળકો ડેવિડને પૂછે કે નસીબ એટલે શું? કોઈક અમીર હોય છે તો કોઈ ગરીબ આમ કેમ? અમારી કેમ આ પરિસ્થિતિ છે? અમારી પાસે કેમ કોઈ કામ નથી? ભીખ માંગીને અમે ક્યા સુધી જીવીશું? આમ કહી બધા બાળકો નિરાશ થઇ મો ફેરવી લે છે.

    જવાબમાં ડેવિડ કહે છે કે તમે તો એક બરાબર હજાર છો તો આગળ ચાલતા રહો. ક્યાય અટકતા નહિ, ઝુકતા નહિ, ગભરાતા નહિ કારણ આ તમારી જ ભૂમિ છે. ઊંચા વિચારો રાખો અને આગળ વધતા જાઓ. આ રાત પણ ચાલી જશે અને નવી સવાર આવશે.

    સરસ્વતિકુમાર ‘દિપક’ના શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે આશા ભોસલે અને મન્નાડેના. ડેવિડ ઉપરાંત બાળકલાકારોમાં મુખ્ય છે બેબી નાઝ અને રતન કુમાર.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • મૂલ્યવાન વર્તણૂકો મળતી રહે તે માટેની યોગ્ય અપેક્ષાઓ પ્રસ્થાપિત કરવા માટેનાં સૂચનો

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    આપણા નિર્ણયો અને તેના પર લેવાયેલાં પગલાંઓનાં પરિણામોની ગુણવત્તાને અસર કરતાં આચરણો વિશે હું વિચારી રહ્યો હતો તે સમયે વિશે, મેં એક અવતરણ વાંચ્યું:

    તમે જે આચરણને પુરસ્કૃત કરો છો તે વધુ તમારી સામે આવશે. તમે જેની આશા રાખો છો, માગો છો, ઈચ્છો છો અથવા ઝંખો છો તે તમને મળતું નથી. તમે જેવું વાવશો તેવું તમે લણી શકશો.” – માઈકલ લબૌફ

    મેનેજર અથવા વ્યાપાર ક્ષેત્રનાં અગ્રણી  તરીકે, તમે જે વર્તણૂકોની શોધ કરતાં રહો છો તેને પુરસ્કૃત કરવા માટે તમારે તમારી આસપાસની વર્તણૂકોની સતત પસંદગી કરતાં રહેવું રહે છે. તમે  સમયમર્યાદામાં કામ પુરૂં કરવા માટે અથવા ગુણવત્તા ધોરણોને પૂર્ણ કરવા જેવી નાની મોટી ઘટનાઓને માટે પુરસ્કાર આપી શકો છો. પુરસ્કાર આપવા મટે ક્યાં તો પરિણામોને લગતાં જ ધારાધોરણો ઘડો અથવા તો પછી, અથવા  તે પરિણામો કેવી રીતે પ્રાપ્ત થયા હતા તેનાં ધોરણો નિશ્ચિત કરીને પુરસ્કાર આપી શકો છો. તમે એવી વ્યક્તિને ઈનામ આપી શકો છો જે પોતાનાં કામ વિશે બહું બોલકું છે, અથવા તો એવી વ્યક્તિને ઈનામ આપી શકો છો જે તેના કામને બોલવા દે છે. તમારી સંસ્થાની સંસ્કૃતિના ભાગ રૂપે તમે જે ઘડતર કરો છો તેમાંનું તે ઘણું બધું તમે સમયાંતરે જે કંઈ પુરસ્કૃત કરતાં રહ્યાં છો તેનાં ફળ છે.

    તમે પ્રોજેક્ટ મેનેજર હો કે વ્યાપાર અગ્રણી હો, અહીં કેટલીક પ્રક્રિયાઓઓ સુચવી છે જે તમે મૂલ્યવાન વર્તણૂકો મળતી રહે તે માટેની યોગ્ય અપેક્ષાઓ પ્રસ્થાપિત કરવા ઉપયોગમાં લઈ શકો છો –

    • ગ્રાહકલક્ષી અભિગમ, અન્ય લોકો માટે આદર, પ્રમાણિકતા, લાંબા ગાળાના લાભની માનસિકતા જેવાં તમારી સંસ્થા માટે મૂળભૂત સ્તરે મહત્ત્વનાં મૂલ્યો અને વર્તનોને નક્કી કરો  અને તેમારાં ખુદનાં વિચાર, વાણી અને વર્તનનાં ઉદાહરણથી શરૂ કરી સંસ્થામાં દરેક સ્તરે તે સ્વ્યંસ્વીકૃત થાય તે રીતે પ્રચલિત કરો.
    • તમે લોકો પાસેથી અપેક્ષા રાખતા હો તેવા મૂલ્યો અને વર્તણૂકોનો સતત પ્રસાર કરો. તમારાં સહકર્મચારીઓ સાથે ચર્ચા કરીને તેમની મહ્ત્ત્વની જબાદારીઓમાં ચોક્કસ પરિણામો અને વર્તણૂકોને આવરી લૈ શકો છો.
    • જ્યારે જ્યારે તમને ઇચ્છનીય વર્તન જોવા મળે ત્યારે તરત જ તેને મહત્ત્વ આપો અને એ વર્તન ટકી રહે તેવાં પરિબળોને વધારે સશક્ત કરો. જુઓ ત્યારે તરત જ માન્ય કરો અને મજબૂત કરો. મહત્વ આપવા અને બીજાંઓને પણ દેખાય તેમ કરવા માટે જે તે કર્મચારીઓને જાહેરમાં એ રીતે અભિનંદન આપો કે જેથી તમે તે વર્તનને સ્વીકૃતિ આપો છો તે સ્પષ્ટ થાય. યોગ્ય વર્તનની સમયસર નોંધ ન લેવાય તો એની અસર એવી પડે છે કે તમે કહો છો ખરા પણ દિલથી આવાં વર્તનની ક્યાં તો તમે કદર નથી કરતાં કે ક્યાં તો આવાં ઉદાહરણીય વર્તનની નોંધ લેવી એ તમારી પ્રાથમિકતા નથી.
    • સાતત્યપૂર્ણ પ્રતિભાવોની આપલે અને સલાહ પરામર્શ  દ્વારા યોગ્ય સમયે અને યોગ્ય સંદર્ભમાં કર્મચારીઓને માર્ગદર્શન પુરૂં પાડતાં રહો. તમારી ટીમના સભ્યોને માર્ગદર્શન આપવા માટે કિક-ઓફ મીટિંગ્સ,પશ્ચાદવર્તી સમીક્ષાઓ, એકલ બેઠકો અને અનૌપચારિક સત્રો જેવાં ગોષ્ઠિ સાધનોનો ઉપયોગ કરો. લોકો હંમેશા એ જાણવાનું પસંદ કરે છે કે તેમની પાસેથી શું અપેક્ષિત છે.
    • પ્રશંસા, વચગાળાના પુરસ્કારો અને પ્રદર્શન મૂલ્યાંકનને તમારી વ્યૂહરચનામાં આવરી લઈને પુરસ્કૃત કરો. કાર્યસિદ્ધિ મૂલ્યાંકન દરમ્યાન એકંદર કામગીરીની સમીક્ષા કરતી વખતે તમે જે વર્તણૂકોની પ્રશંસા કરી છે તેનો ખાસ ઉલ્લેખ કરો. પ્રતિસાદની મુક્તપણે આપલે કરો.

    કયા કર્મચારીઓ તમારી વ્યૂહરચનાના અમલમાં સકારાત્મક યોગદાન કરી રહ્યાં છે તે ખોળી કાઢવા  સંસ્થામાં માનવ સંસાધન સંચાલન માટે ઉપલબ્ધ સૉફ્ટવેરનો ઉપયોગ કરો અને તેના ઉપયોગ વિશે પારદર્શક પણ રહો.

    અને છેલ્લે: જે દેખાય છે (પરિણામો) અને તે માટેનાં વર્તન (તે પરિણામો કેવી રીતે પ્રાપ્ત થયા)ને સંકલિત કરો તો જ પુરસ્કાર તંત્ર વ્યવસ્થાને વ્યૂહરચનામાં આવરી લઈ શકાય છે. આમ રવાના ફાયદા અનેક ગણા છે કારણ કે લોકો વધુ જાગૃત બનતાં રહે છે અને વધુ સારા પરિણામો આપવા માટે સ્વયંસુરણાથી પ્રેરિત બને છે. . તેથી નિર્ણાયક પ્રશ્ન એ છે કે: “શું તમારી કાર્યસિદ્ધિ સંચાલન તંત્ર વ્યવસ્થા સંસ્થા માટે અપેક્ષિત વર્તનને પ્રેરણા મળતી રહે તે માટે સાનુકૂળ વાતાવરણ સર્જન કરી રહી  છે?”


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • વિરોધાભાસી વિસંગતિમાં છુપાયેલ સંગતિ

    જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    વિરોધાભાસી વિસંગતિમાં છુપાયેલ સંગતિ

    કેમ્બ્રિજ શબ્દકોશ ‘વિરોધાભાસી વિસંગતિમાં છુપાયેલ સંગતિ / The Paradox’ ને એવી પરિસ્થિતિ અથવા નિવેદન તરીકે વ્યાખ્યાયિત કરે છે જેમાં બે વિરોધી હકીકતો અથવા લાક્ષણિકતાઓ આવરી લેવાયેલી હોવાને કારણે પહેલી નજરે અશક્ય લાગે છે, અથવા સમજવાં મુશ્કેલ છે.

    બધાં પ્રાણીઓ સમાન છે, પણ કેટલાંક બીજાં કરતાં વધારે સમકક્ષ છે. – એનીમલ ફાર્મ, ૧૯૫૪

    પૅરડૉક્સ શબ્દ મૂળ લેટિન પેરાડોક્સમ પરથી આવ્યો છે, જે પાછો ગ્રીક પેરાડોક્સોસ પરથી આવ્યો છે. તે પ્રાચીન ગ્રીક શબ્દો પેરા અને ડોકેઈનનું સંયોજન છે. પેરા- એ એક ઉપસર્ગ છે જેનો અર્થ થાય છે “-ની પેલી પાર / બિયોન્ડ”, જ્યારે ડોકેઇન એ ક્રિયાપદ છે જેનો અર્થ થાય છે “વિચારવું.” બન્નેને જ્યારે જોડીએ છીએ તો તેનો અર્થ થાય છે-  “વિચારની પેલી પાર.” આમ ‘વિરોધાભાસ / પૅરડૉક્સ’ એ એક એવો વિચાર છે જે તમને તમારા વિચારની સામાન્ય, અપેક્ષિત મર્યાદાઓની પેલી પાર વિચારવા માટે દબાણ કરે છે.

    વિરોધાભાસ સામાન્ય રીતે પહેલી નજરે પરસ્પર અસંબંધિત ઘટકોનો સમાવેશ કરે છે જે એકસાથે અસ્તિત્વ ધરાવે છે અને વધારે વિચાર કર્યા પછી પણ એકબીજાંની સાથે  જ વળગી રહે છે. . સામાન્ય વપરાશમાં, “પૅરડૉક્સ” શબ્દ ઘણીવાર એવા નિવેદનોનો ઉલ્લેખ કરે છે જે માર્મિક અથવા અણધાર્યા હોય, જેમકે, “કંઈ કર્યા વિના થાકી જવું.” કલ્પના કરો કે જ્યારે તમે સફર પર ગયાં હો અને માત્ર કાર અથવા ટ્રેનમાં કંઈ કર્યા વિના બેસી રહેવાનું આવે તો દિવસના અંતે, જો તમે વ્યસ્ત હોત તેના કરતાં તમે કદાચ વધુ થાક અનુભવો છો.

    સમાન અર્થી જણાતા અલગ અર્થ ધરાવતા પારિભાષિક શબ્દો

    અંગ્રેજી ભાષામાં એવા કેટલાક પારિભાષિક શબ્દો છે જે સામાન્ય સમજ પ્રમાણે તો ‘પૅરડૉક્સ’ જ લાગે પણ શબ્દકોશ તેમને બહુ જ સૂક્ષ્મ પણ અલગ અર્થમાં રજુ કરે છે. ગુજરાતી ભાષામાં તો આ અંગ્રેજી શબ્દોના કદાચ અલગ ગુજરાતી પર્યાય પણ આપણને નહીં મળે, એટલે મૂળ અંગ્રેજી શબ્દ જ અહીં વાપરેલ છે.

    ઑક્સિમૉરન /વિરોધાભાસ (અલંકાર) : ઑક્સિમૉરન એ એક એવો અલંકાર છે જેનો અર્થ સ્વ-વિરોધાભાસી  હોઈ શકે છે (દુશ્મનનો દુશ્મન એ મિત્ર છે). બીજા શબ્દોમાં કહીએ તો ઑક્સિમૉરન વિરોધી અર્થ ધરાવતા શબ્દો (જીવતું હાડપિંજર) નું સંયોજન છે.
    ઑક્સિમૉરન શબ્દ પોતે જ એક ઑક્સિમૉરન છે, કારણ કે ગ્રીકમાં તેનો અર્થ ઓક્સસ (તીક્ષ્ણ, આતુર) અને મોરોસ (નીરસ, મૂર્ખ), એટલે કે ‘તીક્ષ્ણ મૂર્ખ‘ થાય છે.
    ઍન્ટનિમ / વિપર્યાય – વિરોધી અર્થોવાળા શબ્દોની જોડીવાળા શબ્દ (સ્ત્રીપુરુષ) થી ઑક્સિમૉરન (વ્યાપાર ઉદ્યોગનું નીતિશાસ્ત્ર) બનતા નથી કારણ કે કોઈપણ પદાર્થમાં એક સાથે બે વિરોધી ગુણધર્મો હોય એવું સુચિત નથી.

    ડાઇકૉટમી / દ્વિભાજન એ બે વસ્તુઓ વચ્ચેનું એવું વિભાજન અથવા વિરોધાભાસ છે જે વિરોધ અથવા સંપૂર્ણપણે અલગ તરીકે દર્શાવવામાં આવે છે (રાતદિવસ). ડાઇકૉટમી બ્રહ્માંડના મુખ્ય લક્ષણોમાંનું એક હોવાનું જણાય છે. દરેક વિરોધાભાસી લાક્ષણિકતાઓ જ્યાં એક સાથે જ જોવા મળે છે એવું બ્રહ્માંડ પોતે જ પદાર્થ અને પ્રતિપદાર્થની બિબ બૅન્ગ સમયે સરખી હાજરીમાંથી પેદા થયેલ છે

    ચાર્લ્સ ડિક્ન્સની વિખ્યાત નવલકથાની શરૂઆત જ ડાઇકોટમીથી છે –

    એ શ્રેષ્ઠ સમય હતો, અને સૌથી ખરાબ સમય હતો, એ ડહાપણનો સમય હતો તો નરી મૂર્ખતાનો પણ હતો, એ શ્રધાનો યુગારંભ હતો તો અંધશ્રદ્ધાના ઉદયનો પણ સમય હતો, એ જેટલો પ્રકાશનો સમય હતો એટલો જ અંધકારનો પણ હતો, એ આશાની વસંત હતી તો આશાભંગનો થીજાવી નાખતો શિયાળો પણ હતો […]

    ડાઇકોટમી શબ્દ ગ્રીક ડિચા (બેમાં) અને ટોમ (કાપ, ચીરો) પરથી આવ્યો છે, એટલે કે, ‘વિભાજન કાપ (પૈસાદાર અને ગરીબ વર્ગની જીવન પદ્ધતિ)

    આઈનસ્ટાઈનનું કથન આ વિશે બહુ  સુચક છે -: ધર્મ વિનાનું વિજ્ઞાન લંગડું છે, વિજ્ઞાન વિનાનો ધર્મ આંધળો છે. વિશ્વાસ અને તર્ક એકસાથે વિરોધાભાસી હોવાની સાથે એકબીજાંનાં પૂરક પણ છે.

    એન્ટિથેસિસ/પ્રતિસિદ્ધાંત એવું કથન છે જેમાં બે તદ્દન વિરોધી વાત/વિચારો હોય છે પણ સાથે વાંચતાં એ બે વિરોધી બાબતો અર્થપૂર્ણ હોય છે. એન્ટિથેસીસ (ગ્રીકમાં “વિરોધી ગોઠવણી” –  ἀντι- “વિરુદ્ધ” અને θέσις “ગોઠવણી” -માંથી)નો ઉપયોગ લેખિત અથવા વ્યક્તવ્યોમાં કાં તો એવા પ્રસ્તાવ તરીકે થાય છે જે અગાઉ ઉલ્લેખાયેલા કેટલાક પ્રસ્તાવ સાથે વિરોધાભાસી હોય, અથવા અવળો અર્થ સુઝાડે, અથવા જ્યારે વિરોધાભાસ માટે બે વિરોધી વાતો જ એકસાથે રજૂ કરવામાં આવે. વિરોધી અથવા વિરોધાભાસી લાગતા વિચારોનો અસરકારક ઉપયોગ દલીલને મજબૂત કરવા માટે થાય છે. પ્રતિસિદ્ધાંતો સામાન્ય રીતે શબ્દોનાં સંતુલન અને તેમના પર મુકાતા ભાર દ્વારા વાચક અથવા શ્રોતા માટે વાક્યને વધુ યાદગાર બનાવે છે. દાખલા તરીકે –

    બોલવાનું હોય ત્યારે ચુપકીદી સેવવી અને જ્યારે મૌન રહેવું જોઈએ ત્યારે બોલી પડવું એ બે બાબતો મનની નબળાઈ દર્શાવે છે . (સાદી શિરાઝી)

    તમારો દેશ તમારા માટે શું કરી શકે તે ન પૂછશો પણ પૂછો કે તમે તમારા દેશ માટે શું કરી શકો છો. – જ્હોન એફ. કેનેડીનું પ્રુમુખ તરીકે પદભાર સંભાળતી વખતે કરેલ પ્રવચન, ૧૯૬૧.

    આપણે અહીં શું કહીશું તેની વિશ્વ ભાગ્યે જ નોંધ લેશે કે લાંબા સમય સુધી યાદ રાખશે, પરંતુ તેઓએ અહીં જે કર્યું તે વિશ્વ ક્યારેય ભૂલી શકશે નહીં. (અબ્રાહમ લિંકન,  ગેટિસબર્ગ વક્તવ્ય, ૧૮૬૩.

    મારું એક સપનું છે કે મારા ચાર નાના બાળકો એક દિવસ એવા રાષ્ટ્રમાં જીવશે જ્યાં તેમનું મૂલ્ય તેમની ત્વચાના રંગથી નહીં પરંતુ તેમના ચરિત્રનાં મૂળ તત્ત્વના આધારે કરવામાં આવશે. (માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, લિંકન મેમેઓરિયલ, વોશિંગ્ટન ડી.સીંઆં ૨૦ ઓગસ્ટ ૧૯૬૩ના દિવસે આપેલું વ્યક્તવ્ય.)

    આઈરની / વક્રોક્તિ એવી પરિસ્થિતિ કે જેમાં કોઈ ચોક્કસ પરિણામ લાવવાનો ઈરાદો હોય પણ ખરેખર વિપરીત અથવા ખૂબ જ અલગ પરિણામ આવે. –

    ઉદાહરણ – જીવનની એવી વિડંબના છે કે તમે જે વસ્તુઓ હંમેશા ઇચ્છતા હો તેના માટે તમે પૂરતા પૈસા કમાઈ લો ત્યાં સુધીમાં, તમારી પાસે તેનો આનંદ માણવાની શક્તિ નથી રહેતી.

    વક્રોક્તિ એવા શબ્દોનો ઉપયોગ પણ છે જે તમે જે કહેવા માગો છો તેનાથી વિરુદ્ધ છે, દાઢમાં કાંકરો રાખીને રમૂજી સ્વરમાં ભારેખમ વાત સંભળાવી દેવા પણ વક્રોક્તિ વપરાય છે. – ઉદાહરણ- મારાં બધા રહસ્યો ખુલ્લા કરીને બહુ સારૂં કર્યું.

     

  • સુખનું સરનામું

    હકારાત્મક અભિગમ

    રાજુલ કૌશિક

    સમયની સાથે તાલ મેળવવાની કે જે તે ક્ષેત્રમાં ટકી રહેવાની મહત્વકાંક્ષા પરિપૂર્ણ કરવા માટે કેટલી માનસિક સજ્જતા રાખવી પડે એનાથી આજે કોણ અજાણ છે? કેટલાક એવા છે જેમના પર પોતાના સપના સાકાર કરવાની ભરચક જવાબદારીઓ છે અને એને પહોંચી વળવાની મથામણના લીધે માનસિક તાણ અનુભવે છે તો કેટલાક એવા ય છે જેમની પાસે કલ્પના કરતાં ય વધુ સમૃદ્ધિ છે,  સાત પેઢી ખાય તો ય ન ખૂટે એવા ધન ભંડાર ભરેલા છે ત્યારે એમને સમય અને પોતાની શક્તિનો ક્યાં ઉપયોગ કરવો એની મથામણ છે.

    એવા જ એક ધનાઢ્ય પરિવારની મહિલા માનસચિકિત્સક પાસે પહોંચી. અત્યંત મોંઘા અને બ્રાન્ડેડ વસ્ત્રોમાં સજ્જ એવી મહિલાને પોતાને એવું લાગતું હતું કે એનું જીવન અર્થહિન છે. કોઇ ધ્યેય વગરના જીવનને લીધે એ અત્યંત નાસીપાસ થઈ ગઈ હતી. અહીં આ કેબિનમાં માનસચિકિત્સક પાસે આવતી વ્યક્તિ પુરેપુરી ઠલવાઇ જાય એ જરૂરી હોય છે એટલે માનસચિકિત્સકે શાંતિથી એ મહિલાની વાત સાંભળી લીધી.

    ત્યારબાદ ડૉક્ટરે એમની ઓફિસ સાફ કરતી બાઇને બોલાવી. ધનાઢ્ય મહિલાને કહ્યું કે હું ઇચ્છું છું કે કોઇપણ ટ્રીટમેન્ટ ચાલુ કરું એ પહેલા આની વાત સાંભળી લો. કામ કરતી બાઇએ પોતાના હાથમાંથી સફાઇના સાધનો એક બાજુ મૂક્યા અને વાત માંડી.

    એના કહેવા પ્રમાણે એનો પતિ થોડા સમય પહેલા કેન્સરથી બિમારીમાં ઝઝૂમીને મૃત્યુ પામ્યો હતો. એનો દિકરો કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. હવે એની સાથે કોઇ નહોતું, એની પાસે કશું જ નહોતું.  આ બેવડા આઘાતના લીધે એ એવી તો સન્ન થઈ ગઈ હતી કે એના કહેવા પ્રમાણે રાતે એ સૂઇ પણ શકતી નહોતી, ખાવાની પણ સૂધ રહી નહોતી. એ સ્મિત કોને કહેવાય એ ભૂલી ગઈ હતી. જીવવા માટે કોઇ કારણ નહોતું. અત્યંત હતાશાએ એને ઘેરી લીધી હતી અને પરિણામે એને પોતાના જીવનનો અંત આણવાની ઇચ્છા થઈ આવતી. પછી એક દિવસ એવું બન્યું કે એ ઘેર પાછી વળતી હતી ત્યારે બિલાડીનું એક નાનકડું બચ્ચુ એની પાછળ પાછળ એના ઘર સુધી આવી ગયું.

    “કોને ખબર કેમ પણ મને એ બચ્ચાની દયા આવી ગઈ. એ બાઇએ પોતાની વાત માંડી. બહાર સખત ઠંડી હતી એટલે મેં એને ઘરની અંદર લીધું. એક પ્લેટમાં થોડું દૂધ ભરીને એની પાસે મુક્યું. બચ્ચાએ પળવારમાં બધુ દૂધ ચાટી પ્લેટ સફાચટ કરી દીધી પછી એ મારા પગ પાસે બેસીને મારા પગને ચાટવા માંડ્યુ. કેટલાય સમય પછી મારા ચહેરા પર સ્મિત ફરક્યું. એ પછી મને વિચાર આવ્યો કે જો આટલા નાના બચ્ચા માટે આટલું અમસ્તું કર્યું તો મને મારું ખોવાયેલું સ્મિત પાછું મળ્યું તો વધારે લોકો માટે જો કંઇ કરી શકું તો કદાચ મારા મનને વધુ આનંદ મળશે. એટલે બીજા દિવસે મેં થોડા બિસ્કિટ બેક કર્યા અને મારા પાડોશી જે કેટલાક સમયથી પથારીમાં હતા એમના માટે લઈને ગઈ. કોઇક છે જે તમારી પરવા કરે છે એ વિચારથી એ રાજી થયા. એમનો રાજીપો જોઇને મને પણ આનંદની સાથે સંતોષ થયો. તે દિવસથી હું અન્ય કોઇ માટે કંઇ સારુ કરવાનો પ્રયત્ન કરું છું, કોઇને પણ મારાથી બની શકે એટલી મદદ કરવા પ્રયત્ન કરું છું અને એના લીધે એમને ખુશ જોઇને મને પણ ખુશી મળે છે. આજે મને લાગે છે કે મારાથી વધારે સારી ઊંઘ ભાગ્યેજ કોઇને આવતી હશે. અન્યને ખુશી આપવાથી આનંદ શું છે એ મને સમજાયું છે. આજે મને મારા જીવવાનો મતલબ સમજાયો છે.”

    બાઇએ પોતાની વાત પુરી કરી અને એની વાત સાંભળીને પેલી શ્રીમંત મહિલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એને સમજાયું કે એની પાસે દુનિયાભરની એ તમામ ભૌતિક વસ્તુઓ હતી જે એ પૈસા ખર્ચીને ખરીદી શકતી હતી પણ એણે જે ખોયું હતું એ દુનિયાભરનો પૈસો ભેગો કરીને પણ ખરીદી શકે એમ નહોતી.

    સીધી વાત– આપણે કેટલા ખુશ છીએ એના પર જીવનની સાર્થકતા નિર્ભર નથી પણ આપણા થકી બીજા કેટલા ખુશ થઈ શકે છે એમાં જીવનની સાર્થકતા છે. પ્રસન્નતા એ મંઝીલ નથી પણ એક સફર છે કે જેમાં આપણે જેટલાને સામેલ કરી શકીએ સુખ એટલું બેવડાય છે. સુખની સફરને કાલ પર નિર્ભર ન રાખી શકીએ. એ તો આજે જ, આ ક્ષણથી શરૂ થવી જોઇએ. પ્રસન્નતાનો પ્રવાસ અન્ય કોઇ સમય પર અવલંબિત ન રાખતા આજથી – આ ક્ષણથી અમલમાં મુકવાનો પ્રયાસ છે- પ્રસંગ છે. તમારી પાસે શું છે એના કરતાં તમે શું કરી શકો છો એમાં પ્રસન્નતા સમાયેલી છે.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.