-
ધર્મ તારું બીજું નામ ભેદભાવ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
વિશ્વના મોટા ભાગના ધર્મ ઓછેવત્તે અંશે જૂનાપુરાણા છે. એમ કહેવાય છે કે તમામ ધર્મોનો સાર એક જ છે અને એ છે માનવકલ્યાણનો. તેમ છતાં ધર્મના નામે જેટલી હિંસા થતી આવી છે એટલી કદાચ યુદ્ધમાં પણ નહીં થતી હોય! તમામ ધર્મોનું મૂળ તત્ત્વ એકસમાન હોય તો પછી ધર્મ ધર્મ વચ્ચે અસહિષ્ણુતા કેમ? ભારત સહિત અનેક દેશોમાં ધર્મ એ રાજકારણનો સળગતો અને મહત્ત્વનો મુદ્દો બની રહે છે, અને તેની પર વિવિધ રાજકીય પક્ષોનું ભાવિ રચાય છે. ધર્મના બચાવમાં એમ પણ કહેવામાં આવે છે કે તે અસલમાં માનવકેન્દ્રી જ છે, પણ તેના અનુયાયીઓને કારણે ધર્મ બદનામ થાય છે. વાસ્તવિકતા એ છે કે ધર્મના હાર્દ સુધી જવાના ઉદ્યમને બદલે સૌ પોતાને અનુકૂળ આવે એ રીતે ધર્મના કોઈ પણ તત્ત્વને પકડી લે છે. આથી છેવટે ધર્મ વ્યાપક બની રહેવાને બદલે મુઠ્ઠીભર આગેવાનો પૂરતો મર્યાદિત બનીને રહી જાય છે. આવા ધાર્મિક આગેવાનો પણ એમ જ ઈચ્છે છે.
પ્રવર્તમાન ધોરણ અનુસાર પ્રત્યેક વ્યક્તિ સ્વતંત્ર નાગરિક અને સમાન હક ધરાવે છે, છતાં ધર્મ અને સંપ્રદાયમાં એક યા બીજા પ્રકારના તીવ્ર ભેદભાવ જોવા મળે છે, અને એ બાબતે તેના અનુયાયીઓને ખાસ વાંધો હોતો નથી. ઊલટાનું ઘણા ખરા કિસ્સાઓમાં એનું ગૌરવ તેઓ લેતા જોવા મળે છે.
આ બાબતનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું. નવેમ્બર, 2022માં દિલ્હીસ્થિત જામા મસ્જિદ દ્વારા એક ફરમાન બહાર પાડવામાં આવ્યું. એ અનુસાર એકલી હોય એવી મહિલાઓના મસ્જિદપ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો. પરિવાર કે પતિ સાથે મહિલાઓ આવી શકે, પણ એકલી યા કેવળ મહિલાઓનું જૂથ હોય તો એમનો પ્રવેશ બંધ. અચાનક આવા ફરમાનનું કારણ? જામા મસ્જિદના પ્રવક્તા અનુસાર એકલી આવતી મહિલાઓ કોઈક પુરુષને અહીં મળવાનો સમય આપે છે અને ગમે એવી હરકતો કરે છે, અહીં ટીકટૉક વિડીયો બનાવે છે, અને આ સ્થળ જાણે કે બગીચો હોય એમ વર્તે છે. ચાહે મસ્જિદ હોય, મંદિર હોય કે ગુરુદ્વારા, પવિત્ર સ્થળોએ આવી હરકત જરાય ચલાવી લેવાય નહીં.
દિલ્હીની જામા મસ્જિદ દેશની સૌથી મોટી મસ્જિદો પૈકીની એક છે અને ત્યાં અનેક મુલાકાતીઓ આવતા રહે છે. ટીકટૉક વિડીયો ન બનાવવાની સૂચના એક પાટિયા પર લખવામાં આવી છે એ જ રીતે એકલી મહિલા મુલાકાતીઓના આગમન પર પ્રતિબંધની સૂચના પણ લખવામાં આવી હતી. મસ્જિદના વહીવટકર્તાઓએ મુલાકાતીઓને ટીકટૉક વિડીયો બનાવતા રોકવા માટે દસ જણની ટીમ બનાવી હતી.
આ ફરમાનનો વ્યાપક રીતે વિરોધ થયો. દિલ્હી મહિલા આયોગ દ્વારા જામા મસ્જિદના ઈમામને નોટિસ મોકલવામાં આવી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે આ મામલે દખલઅંદાજી કરવી પડી. આખરે આ મામલે પુનર્વિચાર કરવામાં આવ્યો અને તેને પાછું ખેંચવામાં આવ્યું.
ફરમાન પાછું ખેંચાયું એ આનંદની વાત છે, પણ આ આખા મામલે મહિલાઓ પ્રત્યે મસ્જિદના સત્તાવાળાઓનો અભિગમ માનસિક પછાતપણાનો સૂચક છે. એમની દૃષ્ટિએ જે પણ ખોટું થતું લાગે એના માટે કેવળ મહિલાઓને જ જવાબદાર ગણવાની?
બીજો કિસ્સો કેરળની મુસ્લિમ વિદ્વાનોની સૌથી મોટી સંસ્થા કેરળ જમિય્યતુલ ઉલેમાનો છે. કાતિબ(ઉપદેશકો)ના સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રમાં ફૂટબૉલના ખેલાડીઓ પાછળ પાગલ થતા યુવાઓને ચેતવવામાં આવ્યા છે અને જણાવાયું છે કે ફૂટબૉલના લોકપ્રિય ખેલાડીઓનાં આદમ કદનાં કટઆઉટ લગાડવા એ વ્યક્તિપૂજા છે અને વ્યક્તિપૂજાનો ઈસ્લામમાં નિષેધ છે. આ સંગઠનના વડા નાસર ફૈઝીએ પ્રશંસકો દ્વારા પોર્ચુગલ અને ઈન્ગ્લેન્ડ જેવા દેશોના રાષ્ટ્રધ્વજ ધારણ કરવા અને તેની ડિઝાઈનવાળી જર્સીઓ પહેરવાના પ્રશંસકોના વલણની પણ ટીકા કરી છે. અલબત્ત, કેરળ જમિય્યતુલ ઉલેમાના એકે અગ્રણીએ ફૈઝીના વલણને સમર્થન આપ્યું નથી.
બન્ને કિસ્સા સાવ અલગ છે, પણ તેમાં સામાન્ય બાબત હોય તો માણસના સાહજિક વલણને દાબવાની છે. ધર્મનું સુકાન ધર્મગુરુઓના હાથમાં હોય ત્યારે આમ જ બને, અને આમ જ બનતું આવ્યું છે.
અલબત્ત, એટલું સ્વીકારવું પડે કે રૂઢિચુસ્તતા, બંધિયારપણા અને પરંપરાને વળગી રહેવાનું વલણ કેવળ ઈસ્લામનું નહીં, બલકે મોટા ભાગના ધર્મોનું છે. તેનું પ્રમાણ કે તીવ્રતામાં ફેર હોઈ શકે, પણ એનાથી કોઈ ધર્મ મુક્ત નથી. કાગળ પર ચીતરાયેલા અસલ ધર્મની દુહાઈ આપીને કોઈ એમ કહી શકે કે મૂળત: ધર્મ આવો નથી હોતો. આ બાબત અનંત ચર્ચાનો વિષય છે, પણ એ યાદ રાખવું જરૂરી છે કે ધર્મના હાર્દ સુધી જવાની તસ્દી કેટલા લે છે? છેવટે તો એ તે ધર્મના વડા દ્વારા અર્થઘટન કરાતા ધર્મને જ બહુમતિ દ્વારા સ્વીકારવામાં આવે છે અને અમલ પણ તેનો જ જોવા મળે છે.
મહિલાઓનાં વસ્ત્રો કે માસિકધર્મ દરમિયાન નહીં પ્રવેશવાની સૂચનાઓ મંદિરોમાં પણ વાંચવા મળે છે, તો જન્મદાત્રી એવી મહિલાનાં દર્શનમાત્રથી દૂર રહેવાનો નિયમ કેટલાક સંપ્રદાયમાં જાહેરમાં ચુસ્તપણે પાળવામાં આવે છે, જેનો વાંધો કે વિરોધ નથી મહિલાને કે નથી તેની સાથે સંકળાયેલા પુરુષને.
કોઈ પણ ધર્મ સમાનતાની ગમે એવી વાત કરતો હોય, તેમાં એક યા બીજા પ્રકારનો ભેદભાવ અનિવાર્યપણે હોય જ છે. સમાનતાથી મોટો કોઈ ધર્મ નથી એ હકીકત હજી ખુદ નાગરિકોને ગળે પૂરેપૂરી નથી ઉતરી, ત્યાં જેમનું સ્થાપિત હિત સીધેસીધું સંકળાયું હોય એવા ધર્મગુરુઓ દ્વારા એ સ્વીકારાય એ અપેક્ષા વધુ પડતી છે!
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯-૧૨–૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
મારા પછી – ૫
પારુલ ખખ્ખર
આ પહેલાના ચાર લેખમાં કોઈ જીવતીજાગતી સ્ત્રી કોઈ પુરુષના જીવનમાંથી ચાલી જાય અને એ સ્ત્રી પોતાની ગેરહાજરીમાં એ પુરુષ કેવું અનુભવતો હશે એની કલ્પનાઓ વિશે લખાયું. ક્યારેક એ સ્ત્રી જાણી જોઈને ચાલી ગયાની વાત હતી, તો ક્યારેક સમજણથી છૂટા પડ્યાની વાત હતી. ક્યારેક એ સ્ત્રીના તરછોડાયાની વાત હતી તો ક્યારેક કારણ વગર ગાંઠ છૂટી ગયાની વાત હતી. આજે વાત માંડવી છે કોઈ સ્ત્રીની હયાતી પછીની વાત… એટલેકે વાત ‘મારા પછી’ની…
સાથરે મૂકેલા દીવા પર ટકટકી લગાવેલી કમ સે કમ બે આંખો અવશ્ય તગતગી ઉઠશે… મારા પછી!
એ મધ્ધમ રોશનીમાં રેલાશે સાથે જોયેલા સપનાઓ…
એ દીવાના તેજે ઓગળશે તીખાં-મીઠાં છણકાંઓ…
એ અજવાળે ઝળહળશે કંઇ કેટલાયે સંવાદો..
અને એ ભાવુક આંખેથી ટપ્પ દઇને ખરી પડશે મારા નામનું મોતી !
અને એ આંખેથી આખેઆખો દરિયો ઉલેચાઇ જશે મારા પછી !
શસ્ત્રો જેને છેદી શકે છે, પાણી જેને ભીંજવી શકે છે, વાયુ જેને સૂકવી શકે છે, અગ્નિ જેને બાળી શકે છે એવું આ નાશવંત શરીર મારા નામનું વસ્ત્ર છોડીને કોઈ નવીન વેશ ધારણ કરવા પ્રસ્થાન કરી જશે. જેનાથી ક્યારેય છાણની, ગૌમુત્રની વાસ સહન ન થતી એને છાણની પથારી પર સૂવરાવીને ગૌમુત્રથી નવડાવવામાં આવશે,જે આજીવન અતિશય શરમાળ રહી છે એને અનેક સ્ત્રીઓની હાજરીમાં અનાવૃત કરવામાં આવશે. એના કપાળ પર ચંદનની આડ કરવામાં આવશે, સેંથીમાં સિંદુર અને હાથ-પગ પર અળતો લગાવવામાં આવશે. એને જરાય ન ભાવતું એ તુલસીપત્ર એનાં મોંમાં પધરાવવામાં આવશે. એના નિર્જીવ શરીર પર ફૂલોના ઢગ ખડકાશે,લાલચટ્ટાક ચુંદડી ઓઢીને એ જોગણી ચાર ખભે ચડીને હરિવરને વરવા ચાલી નીકળશે. રુપેરી વરખવાળી બગીમાં જતી એ સ્ત્રી અનેક સ્ત્રી-પુરુષોની આંખોને ભીંજવતી જશે.મુક્તિધામનાં આખરી પડાવે ફરીવાર ગંગા-જમનાના પાણીથી એ કમનીય કાયાને શુદ્ધ કરવામાં આવશે. જવતલનાં શણગાર થશે.સ્મશાનની ભઠ્ઠીમાં એ શેરીરને હોમી દેવામાં આવશે અને એક આખો હર્યોભર્યો સંસાર ઉજ્જડ બનશે…મારા પછી!
સેંથી પૂરતા તારા હાથ…
મંગળસૂત્ર પહેરાવતા તારા હાથ…
સુહાગરાતે મહેંદીમાંથી પોતાનું નામ શોધતા તારા હાથ…
તારી હથેળીની કોમળતામાં આ હથેળીની રુક્ષતાને ઓગાળી દેતા તારા હાથ…
ગાલ પર, વાળ પર, હોઠ પર સરકતા તારા હાથ..
મારા નામના પીંડ કાપતી વખતે તો અવશ્ય ધ્રુજી જ જશે…મારા પછી!
બેડરૂમમાં હવે આમતેમ કાગળો નહી ઉડે
પલંગ પરનું ગાદલું એ સ્ત્રીના બેસવાથી એક ખૂણે દબાઇ ગયુ છે એ હવે ફરીથી ભરાવી લેવાશે..
બેડરૂમ હવે બેડરૂમ જ લાગશે…પુસ્તકાલય નહી.
ગુલમહોરને જોવા હવે બારીઓ ખુલશે નહી…
બોલપેન હવે કોઇના સ્પર્શ માટે તડપતી રહેશે… રીફીલો હવે સુકાઇ જાશે….
કાગળોને ઉધઈ લાગશે…
વસ્ત્રોની જેમ ચીપકી રહેતા ચશ્મા નિમાણા થશે..
ચશ્મા તો અહિંયા જ રહી જશે પણ પેલી સતત વધતાં જતાં નંબરવાળી બે આંખો ઓલવાઇ જશે સ્મશાનમા..મારા પછી !
હવે કેસરી ગુલાબની કળીઓ તસ્વીરમાં કેદ થયા વગર જ ફૂલ બનીને ખીલી જશે અને ખરી જશે…
હવે સ્માર્ટફોનમાં વર્ષોથી સેટ થયેલી ‘બાઝીગર’ની રીંગટોન સંભળાતી બંધ થશે..
હવે લેપટોપ પર ધુળ બાઝશે..
હવે અનેક જી.બી.ડેટા દબાવીને બેઠેલી સ્ત્રી સ્પેસમાં જતી રહેશે અને લેપટોપમાં સ્પેસ થઈ જશે.
હવે રામરક્ષાસ્તોત્રનાં ગાન બંધ થશે, હવે ગીતાના શ્લોકો સંભળાતા બંધ થશે, હવે વોઇસ રેકોર્ડર ડીલીટ કરાશે, હવે મોબાઇલનો ફ્રન્ટ કેમેરા વપરાયા વગરનો ઝાંખો થશે…
ભીના ટૉવેલ સૂકવવાની કોઇ કચકચ નહી…જમીને આસન ઉપાડવાની કોઇ ઉતાવળ નહી…મચ્છરદાની સંકેલવા માટેના કોઇ વારા નહી…ટી.વી.ના વોલ્યુમ માટે કોઇ બંધનો નહી…હવે બધું જ મનફાવતું કરી શકાશે અને તો ય…આમાંનું બધું જ થતી વખતે એક ટીસ ઉઠશે…મારા પછી!
૧૨ દિવસ પછી હયાતીનાં દસ્તાવેજ જેવી ડાયરીઓ ખુલશે…
દટ્ટણ્પટ્ટણ થયેલી અનેક ઘટનાઓનાં અસ્થિપીંજરો મળી આવશે, અનેક ઉજાગરાઓ કાગળમાંથી બહાર ઠેકી આવશે…અનેક નિસાસાઓની વણજાર ચાલવા લાગશે…અનેક ડૂમા-ડુસકાં દોડીદોડીને હાજરી પૂરાવી જશે…નહી કહેવાયેલી અનેક ફરિયાદોના પોટલાં ખુલશે..અનેક અધુરાં..અધકચરાં કલ્પનો ઠેરઠેર વિખરાયેલા મળી આવશે…’ફરાઝ’ની બેશુમાર શાયરીઓ પોક મુકશે…’બક્ષી’ના કાતિલ ક્વૉટ ખભા નીચે કરીને ચાલતા થશે..શિરીષ વૃક્ષો છાતી કુટશે…સૂકાઈ ગયેલા આંસૂઓ મરણપોક મૂકશે… અને એક વસમી સાંજ દૂરથી આખરી સલામ આપશે…મારા પછી!
એ સ્ત્રીનું વસીયતનામુ વંચાશે…
ખજાનો એના વારસદારોને સોંપતા પહેલા…તારી બે આંખો મનભરીને વાંચશે એ શબ્દોને, જેને તે ક્યારેય નથી વાંચ્યા. અને તારી આંખો ચૂમશે આ ગુલાબી અક્ષરોને…મારા પછી !
આ એ સ્ત્રી ! જે ચાર દિવાલ વચ્ચે લખતી લખતી ધૂમાડો થઇ ગઇ !
આ એ સ્ત્રી! જેણે ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી.
આ એ સ્ત્રી! જે હંમેશા અનુકૂલન સાધતી રહી છે.
આ એ સ્ત્રી! જે કોઈ જ ઘર્ષણ ન થાય એની કાળજી રાખતી રહી છે.
એ સ્મિત…જેનાં પર કોઇ ઓળઘોળ હતું…એ કાયા જે મનભરીને નિહાળી હતી…સ્પર્શી હતી..ચાહી હતી.. એ છબીમાં કેદ થશે. પહેલા ફુલોનાં પછી સુખડના હાર ચડાવાશે…અનેક વણવપરાતા શબ્દોની સાધક એવી એક અકોણી છોકરી તસ્વીરગ્રસ્ત થશે.
ટેડીબિયરનાં કીચેઇન વાળો કબાટ ખુલશે..કેટલીયે મનગમતી..તનગમતી સાડીઓ હાહાકાર મચાવશે…
રંગબેરંગી દુપટ્ટાઓ આંખો પટપટાવશે…
લીપસ્ટીક…નેઇલકલર…બેંગલ્સનાં રંગો મન પર હાવી થશે
રંગબેરંગી બટરફ્લાય આકાશમાર્ગે ઉડવા લાગશે
કાજળઘેરી આંખો અગ્નિમાં સ્વાહા થશે અને કાજળને નજર લાગશે.
અસ્થિની માટલી લાલ કપડામાં વીંટાળી વહેલી તકે દ્વારકાની ગોમતીનાં જળમાં પધરાવી દેવામાં આવશે એ સાથે જ એક મીરાં…એક રાધા…એક શબરી…એક અહલ્યા…એક અગનપંખિણી રાખ બની વહી જશે…અને ભળી જશે કૃષ્ણની માટીમાં…મારા પછી !
પણ..આ હજારો સૂર્યમાળાઓ ધરાવતું બ્રહ્માંડ કંઇ અટકશે નહી.
સવાર થશે…સાંજ થશે…અને રાત થશે.ઉષા અને સંધ્યાના રંગો એવા જ મનમોહક રહેશે…ઘડિયાળ અવિરત ટકટક કરતી રહેશે..પાનખર અને વસંત આવતી રહેશે… મેઘધનુષ રચાતું રહેશે…ભૂંસાતું રહેશે…સ્વાધ્યાય કેન્દ્રો ચાલતા રહેશે…ફેસબૂકમાં સ્ટેટસ અપડેટ થતાં રહેશે…જન્મદિવસો, લગ્નદિવસો ઉજવાતા રહેશે…ભાગવત સપ્તાહ…ગીતા પારાયણ થતાં રહેશે…અનેક જીવ દેહમાંથી દેહાતીત થતા રહેશે અને તો યે મારી છાપ ક્યારેય નહીં ભૂંસાય…મારા પછી!
હાં ફરક એટલો પડશે કે હવે ‘ડી-ડ્રાઇવ’માં પડેલા ‘My all‘ નામના જે ફોલ્ડરને હંમેશા અવગણ્યું હતું એ ફરીફરીને ખોલાશે…એના તમામ કાર્યક્રમોની સૂચી જોઇ ગર્વથી છાતી ફુલાવી શકાશે…એના તમામ વીડિયોને ‘યુ-ટ્યુબ’ પર ચીવટથી અપલોડ કરવામાં આવશે…વારંવાર જોવામાં આવશે. એની ફોટો માટેની ચાહતને સંભારણાઓ તરીકે બિરદાવવામાં આવશે…એના અવાજમાં રેકોર્ડ થયેલી ગઝલોને વારંવાર સાંભળવામા અને વોટસએપ પર ફોરવર્ડ કરવામાં આવશે…એની ફાઇલમાંથી પ્રશંસકોના પત્રો વાંચીને આંખો ભીની થતી રહેશે..એનાં ઢગલો પુસ્તકોને ‘પુસ્તક પરબ’માં આપી દેવાની આખરી ઈચ્છા પુરી કરવામાં કાળજું કપાઇ જશે…કેટલાયે નામી-અનામી શોકસંદેશાઓથી ડ્રોઅર છલકાઇ જશે…મારા પછી !
એક ગુલાબી પુલ ધ્વસ્ત થશે. એ પુલ પર ઉડતો ગુલાલ આંસૂઓ વાટે રેલાઈ જશે. કેટલીયે કવિતાના આસ્વાદો અનાથ બનશે. કેટલીયે વાર્તાઓ પોસ્ટમોર્ટમ થયા વગર જ ભુલાઈ જશે.કેટકેટલાં સેલ્ફિઓ પુણ્યતિથિ માટે સેવ કરી લેવાશે.અનેક રેસિપિઓના અખતરા હવે થયા વગરના રહી જશે.સાઉન્ડ-ક્લાઉડ પરની ઓડિયો ક્લિપ્સને વારંવાર સાંભળવામાં આવશે.ગૂગલ ડ્રાઇવને ફંફોસી ફંફોસીને યાદગીરીઓને ભેગી કરવામાં આવશે.
નેમપ્લેટ પરથી એક નામ ચાલ્યું જશે અને નેમપ્લેટ નવી બનાવી લેવાશે…અનેક સખીઓ છાતીફાટ રડશે…શ્રદ્ધાંજલી કાવ્યોથી મેગેઝિનો ઉભરાઇ જશે…મકાનના દરવાજે હવે પોસ્ટમેન આવતો બંધ થશે…કુરિયરમેન બોણી માંગવા નહી આવે…કોરા પરબિડિયાં હવે શોકસંદેશા લખવામાં ઉપયોગી થશે… આખો દિવસ ઓન રહેતું વાઇફાઇનું મોડેમ હવે પરત કરી દેવાશે…ઇન્ટરનેટનો અનલિમિટેડ પ્લાન હવે સ્થગિત કરી દેવામાં આવશે. પુસ્તકોના કબાટમાં હવે વધારાની વસ્તુઓ ભરી દેવામાં આવશે.અને તો ય મને ખાતરી છે કે…
કોઇ કોમ્પ્યુટરનાં સ્ક્રીનસેવર પર ચમકી જશે એક નામ મારું…
કોઇ તળાવની પાળે રાહ જોતી આંખોમાં રેલાશે એક નામ મારું…
કોઇ મશીનની ઘરઘરાટીમાં સંભળાશે એક નામ મારું…
કોઇ રણની રેતીમાં લખાતું રહેશે એક નામ મારું…
કોઈ ડીલીટ થયેલા મેઇલમાં ડોકાતું રહેશે એક નામ મારું..
જે નામને બેશુમાર ચાહ્યું હતું તેની પાછળ સ્વ. લગાડવામાં આવશે.બે-ચાર પેઢી પછી એ નામ પણ ઓગળી જશે..છબી હાર સોતી ઉતારી લેવામાં આવશે..મંદીરના કોઇ ખૂણામાં ગોઠવી દેવામાં આવશે
પણ….
કબુતરા અને હોલા એના હાથેથી ચણ ખાવા ટળવળતા રહેશે..એ પતરંગો…એ કલકલિયો…એ શક્કરકોરો…એ કંસારો..એની એક ઝલક માટે ફળિયામાં મંડરાતા રહેશે…ગુલમહોરની પીળી પાંદડીઓથી ફળિયું રંગાઇ જશે..પેલ્ટાફોરમનાં ફુલો માદક ખુશ્બુ રેલાવતા ખર્યા કરશે..એની પીળા ફૂલોની ચાદર પથરાઈ જશે…ગુલમહોરના થડમાં પાગરેલો વડલો ઝીણી આંખે કોઇને શોધ્યા કરશે… મારા પછી!
અને…અને…અને..
શબ્દોનાં કામણ રહેશે…
પીડાનાં મારણ રહેશે…
એક મુઠ્ઠી ગુલાલ રહેશે…
ગુલાબી ધમાલ રહેશે…
અઢળક યાદોના ખજાના રહેશે…
અને…એક નામ સુખડમાં કોતરાઇને અમર બની જાશે…મારા પછી.
સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
પગદંડીનો પંથી – ભાગ ૧ – (૨૨) Miracles do happen / ચમત્કારો પણ થાય છે
એક અજાણ્યા સર્જનની જિંદગીની વાતો

ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.આપ ચમત્કારમાં માનો છો? ના માનતા હોય તો આ લેખ વાંચવો જ રહ્યો. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે ‘રામ રાખે તેને કોણ ચાખે?’ કંઈક એવું જ!
ડૉ. પરેશ એક એવી હોસ્પિટલમાં કામ કરતા હતા, જ્યાં બીજો સર્જન મળવો મુશ્કેલ હતો, ત્યાં સુપર સ્પેશ્યાલિસ્ટનો તો વિચાર પણ કરી ના શકાય. આજુબાજુનાં ગામડાના લોકો દિલથી ઘણા સારા, મિત્ર માટે જાન આપી દે એવા! પણ દુશ્મનાવટ થાય તો જાન લેવામાં સમય ના લગાડે! આવા મારામારીના કેસની સારવાર-સર્જરી કરવા માટે ડૉ. પરેશે હંમેશા તૈયાર રહેવું પડતું.
બન્યું એવું, કે આખું ગામ હોળી-ધુળેટીના રંગોથી રંગાઈ આનંદ કરતું હતું, ત્યારે કોઈની વેર લેવાની ભાવના જાગી ઊઠી, અને એણે પોતાના કોઈ દુશ્મનને લાંબો છરો કે જમૈયો હુલાવી દીધો છાતીની આરપાર! પણ જેને વાગ્યું એ અલમસ્ત જુવાન હતો, અને તેનું શરીર પણ સામાન્ય માર વેઠી શકનારું હતું. ડૉ. પરેશ પાસે તેને લાવવામાં આવ્યો ત્યારે લોહી ઘણું વહી ગયું હતું, ડાબી છાતીમાં આશરે બે ઇંચ જેટલો ઘા વાગ્યો હતો. લાંબા જમૈયા જેવા ધારદાર તીક્ષ્ણ હથિયાર વડે થઈ શકે એવો ઘા હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તપાસ અને એક્સ રેથી જણાયું કે એનું ડાબું ફેફસું બેસી ગયું હતું, અને પેટમાં પણ હવા પ્રસરી ગઈ હતી. આનો મતલબ એ થતો હતો કે ઉદરપટલ (Diaphram) પણ ચીરાઈ ગયો છે, અને હથિયારે પેટનાં અવયવો, જેવાં કે હોજરી અને નાના-મોટા આંતરડાંને પણ ઈજા પહોંચાડી હોય. બચવાની શક્યતા ઓછી થતી જતી હતી. તેના Vital Parameters એટલે કે Pulse, BP, respiration અને Consciousness ઉપર ખૂબ જીવલેણ અસરો વર્તાઈ રહી હતી.
હોસ્પિટલમાં એનાં સગાં, પોલીસ, અને તમાસો જોનારાની ભીડ હતી, પણ ડૉ. પરેશે પોલીસનો સાથ લઈ ફક્ત અંગત સગાં જોડે વાત કરી, અને સ્ટાફને જરૂરી સારવારની સૂચનાઓ આપીને બેભાન કરનાર ડૉક્ટરને (Anaesthestist) કૉલ કરાવ્યો.
“સાહેબ, એ બચી જશે ને?”
“જુઓ, જે રીતનું વાગ્યું છે, અને રિપૉર્ટ બતાવે છે કે અંદર ખૂબ નુકસાન થયું છે. શું થશે, એ કહી શકાય એમ નથી, પણ સિરિયસ છે.”
“બીજે લઈ જઈએ તો?”
“હાલની પરિસ્થિતિમાં એને ક્યાંય લઈ જવાય એમ નથી, અને જો લઈ જશો તો રસ્તામાં જ એનું…”
“સાહેબ, તમે જ કંઈ કરો…”
“હા, ઑપરેશન તો કરવું જ પડશે, છાતી ચીરવી પડશે. પેટ પણ ચીરીને અંદરનું નુકસાન તપાસીને ઘટતું કરવું પડે, અને ખૂબ લોહી વહી ગયું છે, એટલે લોહીના બાટલા પણ ચડાવવા પડે. મારી પૂરી ક્ષમતા અને કાળજીથી ઑપરેટ કરું તો પણ ના કરે નારાયણ અને હું એને બચાવી ના શકું! બોલો મંજૂર હોય તો હું તાત્કાલિક ઑપરેશનમાં લઉં.”
“હા સાહેબ! આપ જ ભગવાન…” બે-ત્રણ જણા ડૉ. પરેશના પગમાં પડ્યા.
બધી તૈયારી સાથે ડૉ. પરેશે પહેલાં છાતી ચીરી, Left Thoractomyનું ઑપરેશન હાથમાં લીધું.
જોયું તો ડાબા ફેફસાનો ભાગ કપાઈ ગયો હતો, અને હથિયાર હૃદયની નીચેથી પસાર થઈ ઉદરપટલને ચીરીને પેટમાં ઊતરી ગયું હતું. ફેફસાને યોગ્ય રીતે સાંધીને (Air tight) Intercostal Drain મૂક્યું અને તેને યોગ્ય રીતે બહાર પાણીની નીચે હવા અને લોહી નીકળે એવી વ્યવસ્થા કરી. ઉદરપટલને પણ રિપેર કર્યું, અને છાતીનો ઘા બંધ કર્યો.
પેશન્ટને છતો સુવાડી, પેટને ખોલ્યું. Exploration દરમ્યાન જોયું તો ડૉક્ટર અને સાથી મદદનીશ સ્ટાફ અચંબામાં પડી ગયા. લાંબુ હથિયાર હોજરીને સહેજ લસરકો કરી, મોટા આંતરડાને નુકસાન કર્યા વગર ચરબીના લટકતા રક્ષણાત્મક પડમાં (Omentum) કાણું પાડીને, નાના આંતરડાની ગૂંચો વચ્ચેથી નુકસાન કર્યા વગર પસાર થઈને જમણી કિડની સુધી પહોંચ્યું હતું, છતાં કિડની પણ નુકસાન રહિત હતી! હા, ઓમેન્ટમની લોહીની નળીઓ કપાઈ ગયેલી, તેથી પેટમાં લોહી ભરાયેલું હતું, અને ગઠ્ઠા થઈ નીચે ભરાઈ પડ્યું હતું.
બધું સાફસૂફ કરીને, કોઈ નુકસાનીનો ભાગ રહી ગયો હોય તો ફરીથી તપાસીને ડૉ. પરેશે પેટને Layer by layer (પડ પ્રમાણે પડ)ને સાંધી બંધ કર્યું. હાશ… બધું બરાબર સંતોષજનક કામ થયું. Anaesthetic ડૉક્ટરનો આભાર માન્યો, બીજા સ્ટાફનો આભાર માન્યો, અને ડૉ. પરેશ બહાર સગાંને ખબર આપવા બહાર ગયા.
સગાં અને બીજાં ઘણાં દોડી આવ્યાં, અને ડૉક્ટર સામે અનિમેષ તાકતાં કાન સરવા કરી ઊભાં.
“ખૂબ સરસ રીતે ઑપરેશન થયું છે, થોડીવારમાં દર્દીને બહાર લાવવામાં આવશે. થોડા કલાક પછી ભાનમાં આવશે. ૧૫-૨૦ દિવસ દવાખાનામાં રોકાવું પડશે. મેં મારું કામ મારી સંપૂર્ણ આવડતથી કર્યું છે. હવે ઉપરવાળાને હાથમાં સોંપું છું.”
અભણ સગાં પગે પડવા સિવાય શું કરે?
ડૉ. પરેશને આ કેસે ખૂબ જ નામના કમાવી આપી. ડૉ. જાણતા હતા જે કદી બની ના શકે, એવું બન્યું હતું. ડાબી છાતીમાં વાગેલું લાંબું તીક્ષ્ણ હથિયાર, હૃદયને, હોજરીને, આંતરડાંને, વળોટી જમણી કિડની સુધી જાય છતાં ફેફસાં સિવાય ક્યાંય નુકસાન ના કરે! શરીરશાસ્ત્રને જાણનાર એ કોઈપણ રીતે માની ના શકે એવું જ બન્યું હતું!
ડૉ. પરેશ હંમેશા પોતાની આવડત અને ભગવાન પર ભરોસો રાખીને જ કામ કરતા હતા, અને ઑપરેશન પત્યા પછી દર્દીને નમસ્કાર કરી ભગવાને મનમાં પ્રાર્થના કરતા કે,
“મેં મારાથી બનતું કર્યું છે. હવે દર્દીને બચાવવાનું અને મટાડવાનું કામ તારું છે.”
ભગવાને ડૉ. પરેશની વાત હંમેશા સાંભળી છે, અને ડૉ. પરેશ પણ શ્રદ્ધાપૂર્વક જીવન જીવ્યા છે.
+ + +
છું તબીબી જ્ઞાનથી માહિર પણ,
કોઈને ક્યાં દર્દની ફરિયાદ છે?
– ‘સાજ’ મેવાડા
ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ભારતમાં રાજ્યોની પુનર્રચના-પડકારો અને ઉકેલ
નિસબત
ચંદુ મહેરિયા
બ્રિટિશરોની ગુલામીમાંથી ભારત આઝાદ થયું ત્યારે દેશમાં ચાર પ્રકારના ઘટક રાજ્યો અસ્તિત્વમાં હતા : “અ”વર્ગના નવ(૯) રાજ્યોમાં પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર,આસામ, બંગાળ, ઓરિસ્સા, મદ્રાસ અને મુંબઈનો સમાવેશ થતો હતો.મધ્યભારત, મૈસુર, સૌરાષ્ટ્ર,રાજસ્થાન, હૈદરાબાદ,પતિયાલા(’પેપ્સુ’, ઈસ્ટ પંજાબ સ્ટેટસ યુનિયન) અને કોચીન-ત્રાવણકોર એ સાત(૭) “બ” વર્ગના રાજ્યો હતા. આ સાત રાજ્યો દેશી રજવાડા કે તેના એકમો હતા. દિલ્હી, કચ્છ, મણિપુર, દુર્ગ, ત્રિપુરા, અજમેર, વિલાસપુર, ભોપાલ, હિમાચલપ્રદેશ અને વિંધ્યપ્રદેશ એ દસ (૧૦) ટચૂકડા વિસ્તારો “ક”વર્ગમાં મુકાયા હતા. આંદામાન-નિકોબાર કેન્દ્રશાસિત “ડ” વર્ગમાં હતુ.
આ ચાર પ્રકારના ઘટક રાજ્યોનો દરજ્જો અને અધિકારો સમાન નહોતા. તેમનું માળખું યોગ્ય રીતે ગોઠવાયું નહોતું. અંગ્રેજ અમલ દરમિયાન પણ રાજ્યોનું માળખું અવ્યવસ્થિત હતું. પ્રાદેશિક સીમાઓ એકસરખા, ચોક્કસ અને તર્કબધ્ધ કારણોથી નક્કી કરવામાં આવી નહોતી.
માત્ર ભાષાના મુદ્દે પણ આ રાજ્યોનો વહીવટ ખૂબ મુશ્કેલ હતો. બેઈલી નામના અંગ્રેજ કલેકટરે ઈ.સ. ૧૮૫૭માં નોંધ્યું હતું કે બંગાળ પ્રાંતના બ્રિટિશ અફસરોને બંગાળી, અસમિયા, હિંદી અને ઉડિયા જેવી ચાર ભાષાઓ આવડતી હોય તો જ તે સુગમ રીતે વહીવટ કરી શકે અને લોકસંપર્ક સાધી શકે.
ગાંધીજી અને કોંગ્રેસ રાજ્યોની રચના ભાષાના ધોરણે કરવાના હિમાયતી હતા. ગાંધીજીએ લખ્યું છે કે “હું માનું છું કે પ્રાંતોની રચના ભાષાવાર કરવી એ જ ખરું ધોરણ છે. કોંગ્રેસના કામ માટે પ્રાંતોની ભાષાવાર નવેસર વહેંચણીને કોંગ્રેસ તરફથી મંજૂરી મેળવી આપવામાં મુખ્યત્વે કરીને મારો હાથ હતો..” (ગાંધીજીનો અક્ષરદેહ, ભાગ-૭૫, પૃષ્ઠ-૪૩૧) ગાંધીજીએ ઈ.સ. ૧૯૧૯માં કોંગ્રેસની પ્રાંતિય શાખાઓ ભાષાના ધોરણે સ્થાપી હતી. ૧૯૩૭ અને ૧૯૪૩માં આઝાદી મળશે કે તુરત જ રાજ્યોની રચના ભાષાના ધોરણે કરાશે તેવું વચન દેશની જનતાને કોંગ્રેસે આપ્યું હતું.
સ્વતંત્રતા આંદોલન દરમિયાન જ રાજ્યોની રચના ભાષાના ધોરણે થવી જોઈએ તેવી માંગણી બળવત્તર બની હતી. ઈ.સ. ૧૮૯૫માં બિહાર અને ઓરિસ્સાને વિભાજિત કરીને અલગ ઉડિયા રાજ્યનું આંદોલન, ઉડિયા રાષ્ટ્રવાદ અને ઉડિયા ભાષાના મુદ્દે થયું હતું અને ૧૯૩૬માં અલગ રાજ્ય મેળવ્યું હતું. તેલુગુભાષી વિસ્તારની અલગ કોંગ્રેસ પ્રાંતિય શાખા પૂર્વે “આંધ્ર મહાસભા”એ ઈ.સ. ૧૯૦૯માં અલગ આંધ્રની માગણી કરી હતી.
કોંગ્રેસે ૧૯૨૮માં મોતીલાલ નહેરુ કમિટીની રચના કરી હતી. તેણે વસ્તી, ભાષા, લોકભાવના, ભૌગોલિક અને આર્થિક સ્થિતિને રાજ્ય રચનાનો આધાર માન્યો હતો. ૧૯૪૭માં આઝાદી મળી પરંતુ દેશના ધર્મના આધારે ભાગલા પડ્યા. એટલે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ભાષાના ધોરણે રાજ્યોની રચનાના પક્ષે નહોતા. સરદાર પટેલ પણ એવો જ મત ધરાવતા હતા. ૧૯૪૮માં સરકારે નિવૃત ન્યાયાધીશ એસ.કે ધરના નેતૃત્વમાં પ્રાંતિય ભાષા કમિશનની રચના કરી પંચે છ જ મહિનામાં સરકારના વિચારો જેવી જ ભલામણો કરતો અહેવાલ આપ્યો. પંચે ભાષાના આધારે રાજ્યોની માંગણી નકારી હતી. પંચનું માનવું હતું કે લોકોની લાગણી ભાષાવાર રાજ્યોની રચના સાથે જોડાયેલી છે પરંતુ તે દેશહિતમાં નથી. કોંગ્રેસે પણ તે પછીના તેના જયપુર અધિવેશનમાં જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને પટ્ટાભિ સીતારામૈયાની સમિતિ બનાવી હતી. સમિતિએ અસરગ્રસ્તરાજ્યોના લોકોની ભાવના, આપસી સહમતિ ,આર્થિક અને વહીવટી વ્યવહાર્યતાને ધ્યાનમાં રાખીને જ ભાષાના આધારે રાજ્યોની રચના કરવા પર ભાર મૂક્યો હતો.
ઈ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલી બન્યા પછી બંધારણના અનુચ્છેદ ૩માં સંસદને રાજ્યોના વિસ્તારમાં ફેરફારની સત્તા આપતી જોગવાઈ કરવામાં આવી હતી. રાજનીતિશાસ્ત્રના વિદ્વાનો આ જોગવાઈને સમવાયતંત્રના સ્વીકૃત સિધ્ધાંત વિરુધ્ધની ગણાવે છે.
સ્વતંત્રતા પછી તુરત જ ભાષાકીય ધોરણે રાજ્યોની રચનાની માંગણી જોર પકડવા લાગી હતી. અનેક રાજ્યોમાં આ માટેના આંદોલનો શરૂ થયા. તેમાં આંધ્ર, પંજાબ અને ગુજરાતના આંદોલનો પ્રમુખ હતા. પંડિત નહેરુ ભાષાના ધોરણે આંધ્ર કે ગુજરાતની રચના અંગે સહેજપણ સંમત નહોતા. આખા દેશમાં તેમના ચૂંટણી પ્રવચનોમાં તેઓ ભાષા કે ભાષાવાર રાજ્ય રચના વિશે એક શબ્દ પણ બોલતા નહોતા. ૧૯૫૨માં પહેલી સામાન્ય ચૂંટણીમાં લોકસભામાં તો કોંગ્રેસને જંગી બહુમતી મળી પરંતુ મદ્રાસની ધારાસભાની ચૂંટણીમાં તેને ૧૪૫માંથી માત્ર ૪૩ જ બેઠકો મળી હતી.એટલો પ્રભાવ ભાષાવાર રાજ્ય રચનાના આંદોલનનો હતો.
મદ્રાસના તેલુગુભાષી રાજ્યોનું અલગ આંધ્ર રાજ્ય રચવા માટેનું આંદોલન કોંગ્રેસી આગેવાન શ્રીરામુલુ પોટ્ટીના આમરણ અનશન સાથે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું હતું. ઉપવાસ દરમિયાન જ અઠ્ઠાવનમા દિવસે તેમનું મૃત્યુ થયું. અને તેના પગલે હિંસા ફાટી નીકળી. આ આંદોલનના પડઘા આખા દેશમાં પડ્યા. ૧૫મી ડિસેમ્બર ૧૯૫૨માં શ્રીરામલુ પોટ્ટીનું અવસાન થયું તેના બે દિવસ પછી જ વડાપ્રધાન નહેરુએ આંધ્રના અલગ રાજ્યની માંગણી સ્વીકારવી પડી હતી. અને ૧૯૫૩માં આંધ્રના અલગ રાજ્યની રચના કરવી પડી હતી. . પહેલી ઓકટોબર ૧૯૫૩ના રોજ મદ્રાસ રાજ્યના ૧૧ ઉત્તરી તેલુગુભાષી જિલ્લાઓને છૂટા પાડીને આંધ્રપ્રદેશનું નવું રાજ્ય બનાવવામાં આવ્યું હતુ.
અલગ આંધ્રની રચના પછી કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૧૯૫૩માં “રાજ્ય પુનર્રચના પંચ”ની રચના કરી હતી. ન્યાયમૂર્તિ ફઝલ અલી, પંડિત હ્રદયનાથ કુંઝરુ અને સરદાર કે.એમ પણિકરના બનેલા આ પંચે ભાષાકીય એકતા, વહીવટી સુગમતા, આર્થિક વિકાસની જરૂરિયાત, સાંસ્કૃતિક સમાનતા અને લઘુમતીઓના હિતોનું રક્ષણ જેવા માપદંડોને આધારે સપ્ટેમ્બર ૧૯૫૫માં રાજ્યોની પુનર્રચના કરવા અંગે અહેવાલ આપ્યો હતો. ફઝલ અલી પંચે રાજ્યોના અ,બ,ક અને ડ જેવા જૂથો અને ભેદભાવ નાબૂદ કરવા સૂચવ્યું હતું. પંચે નવેસરથી ૧૬ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવા ભલામણ કરી હતી. અનેક ચર્ચા વિચારણાઓ બાદ ૧૯૫૬માં સંસદે રાજ્ય પુનર્રચના અધિનિયમ પસાર કર્યો હતો. તે મુજબ આંધ્ર, અસમ, બિહાર, મુંબઈ, જમ્મુ-કશ્મીર, કેરળ, મધ્યપ્રદેશ, મદ્રાસ, મૈસુર, ઉડિયા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ એ ૧૪ રાજ્યો તથા આંદામાન –નિકોબાર, દિલ્હી, મણિપુર , ત્રિપુરા, હિમાચલપ્રદેશ અને લક્ષદીપ એ ૬ કેન્દ્રશાસિત પ્રદેશોની ભાષાના ધોરણે રચના કરવામાં આવી હતી.
૧૯૫૬માં ભાષાવાર રાજ્યોની રચના કરવા છતાં અસંતોષ અને અન્યાયની લાગણી સાથે નવા રાજ્યોની માંગણી ચાલુ રહી હતી. દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કરવાની ચળવળ ઉગ્ર બની. અંતે પહેલી મે ૧૯૬૦ના રોજ ગુજરાતીભાષી ગુજરાત અને મરાઠીભાષી મહારાષ્ટ્ર એવા બે નવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. ડિસેમ્બર ૧૯૬૧માં ફિરંગીઓના ત્રણ થાણા દીવ, દમણ અને ગોવાને જોડીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. ૧૯૬૩માં નાગાલેન્ડ ,૧૯૬૬માં પંજાબમાંથી પંજાબ, હરિયાણા અને હિમાચલપ્રદેશ, ૧૯૭૨માં મેઘાલય, મણિપુર અને ત્રિપુરા તથા ૧૯૮૭માં મિઝોરમ રાજ્યો બન્યાં હતા. ૧૯૮૭માં અરુણાચલ પ્રદેશ અને ગોવાને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્યો બનાવાયા હતા. ૨૦૦૦ના વરસમાં ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ઝારખંડ- એ ત્રણ રાજ્યો અનુક્રમે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારનું વિભાજન કરીને રચવામાં આવ્યા હતા.૨૦૧૪ના વરસમાં આંધ્રનું વિભાજન કરીને તેલંગાણા અને આંધ્રના બે અલગ રાજ્યો બનાવવામાં આવ્યા હતા.
જમ્મુ-કશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી પછી તેને રાજ્યને બદલે જમ્મુ-કશ્મીર અને લદ્દાખ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરતાં આજે દેશમાં ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિતપ્રદેશો છે.ભાષાની દ્રષ્ટિએ તો આ રાજ્યોની ભાષાઓ- હિંદી, અંગ્રેજી, તેલુગુ, અસમિયા, મિઝો, કોંકણી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, મણિપુરી, ઉડિયા, પંજાબી, તમિલ, ત્રિપુરી, બંગાળી અને સાંથાલી છે. સૌથી વધુ ૧૦ રાજ્યોની ભાષા હિંદી છે. પૂર્વોત્તરના ચાર રાજ્યોની ભાષા અંગ્રેજી છે. તેલંગાણાની ભાષા તેલુગુ અને ઉર્દૂ છે જ્યારે પશ્ચિમ બંગાળમાં મુખ્યત્વે ચાર ભાષાઓ ( બંગાળી, ઉર્દૂ, હિંદી અને સંથાલી)નું ચલણ છે.
“ઈન્ડિયા આફટર ગાંધી”માં ઈતિહાસવિદ રામચન્દ્ર ગુહા “ભાષાવાર રાજ્યરચનાને કારણે દેશનું સમવાય માળખુ મજબૂત થયાનું” જણાવે છે. ગાંધીજી પણ ભાષાવાર રાજ્યોને ભારતની સાંસ્કૃતિક પ્રગતિનો માર્ગ. અને દેશને જોડનારી મજબૂત કડી માનતા હતા.
ભાષાનું રાજ્ય કે રાજ્યની ભાષા અર્થાત જે તે પ્રદેશમાં બોલાતી ભાષા પરથી રાજ્યની રચના કરવી કે જે તે રાજ્યની રાજભાષા નક્કી કરવી તે સવાલ રહે છે. આરંભે ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવામાં આવી હતી. પરંતુ ૨૦૦૦ અને ૨૦૧૪ માં રચાયેલા ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ અને તેલંગાણા તો સમાનભાષી રાજ્યોમાંથી વિકાસ કે પછાતપણાના કારણે વિભાજિત થઈને રચાયેલા રાજ્યો છે .એટલે માત્ર ભાષાના ધોરણે રાજ્ય રચનાનો સિધ્ધાંત સંપૂર્ણ સાચો નથી.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કાવ્યાનુવાદ : Grow old with me / વૃદ્ધ થા મુજ સંગ…
Grow old…
– રોબર્ટ બ્રાઉનીંગ
“Grow old along with me!
The best is yet to be,
the last of life,
for which the first was made.Our times are in his hand
who saith, ‘A whole I planned,
youth shows but half;
Trust God: See all, nor be afraid!”અનુવાદ
વૃદ્ધ થા મુજ સંગ
જીવન રાખશે હજી રંગ
જો, આથમણી સાંજ્યું કાજ
ઉગમણું હતું જ સવાર.આપણ સમય એને પંડ
સરજ્યું જે કહે, “મેં અખંડ,
જુવાની તો અરધ આભાસ
હરિપર રાખ તું વિશ્વાસ
સઘળું તેજમાંહી તપાસ
ભયના રાખ તું તલભાર”– અનુ. મકરંદદવે
(સૌજન્ય : અક્ષરનાદ)
બ્રાઉનિંગ, રૉબર્ટ (૧૮૧૨, લંડન; ૧૮૮૯, લંડન) :
અંગ્રેજ કવિ. પિતા બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડમાં સિનિયર કલાર્ક, પણ કલા અને સાહિત્યના રસિક. આ વારસો રૉબર્ટ બ્રાઉનિંગને મળ્યો. માતા સંગીતપ્રેમી, પિયાનોવાદક અને શ્રદ્ધાળુ. રૉબર્ટ બ્રાઉનિંગ 1828માં યુનિવર્સિટી ઑવ્ લંડનમાં દાખલ થયા પણ દોઢેક વર્ષ પછી અભ્યાસ છોડી દીધો. નાનકડા સંયુક્ત કુટુંબમાં તેમણે પોતાને ઘરે રહીને પિતાની અંગત લાઇબ્રેરીનાં 7000 જેટલાં પુસ્તકોનો અભ્યાસ કર્યો.
16 વર્ષની ઉંમરે તેમણે કાવ્યો રચવાની શરૂ કરી. સૌપ્રથમ પ્રસિદ્ધ થયેલ કાવ્યરચના ‘પૉલિન’(1933) વાંચીને જ્હૉન સ્ટુઅર્ટ મિલે ટીકા કરેલી કે ‘આ અજ્ઞાત કવિ કોઈ શાણા માનવીમાં ન જોવા મળે તેવા રુગ્ણ અંતર્મુખી અતિ ઉત્કટ ચેતનાના ભાવથી ઘેરાયેલા જણાય છે.’ રૉબર્ટ બ્રાઉનિંગે આ ટીકા વાંચીને પોતાના વિચારો વાચકો આગળ સીધેસીધા રજૂ ન કરવાનો નિર્ધાર કર્યો. ત્યારબાદની રચનાઓમાં તેઓ સ્ત્રી અને પુરુષ પાત્રો પાસે બધું બોલાવે છે – ‘ડ્રામેટિક મૉનૉલૉગ’ની પદ્ધતિ અખત્યાર કરે છે. તેમની કાવ્યવિકાસયાત્રામાં આ એક નવું કદમ છે. તેમની કૃતિ ‘પૅરાસેલ્સસ’(1835)માં તેમનો આત્મકથાત્મક અભિગમ દેખાય છે. એ કાવ્યરચનાએ વર્ડ્ઝ્વર્થ અને ટૉમસ કાર્લાઇલ જેવા મહાન સાહિત્યકારોનું ધ્યાન તેમના તરફ આકર્ષિત કર્યું અને તેમના પ્રોત્સાહનથી તેઓ લંડનમાં સાહિત્યિક વર્તુળોમાં જાણીતા બન્યા.
1855માં રૉબર્ટ બ્રાઉનિંગે ‘મૅન ઍન્ડ વિમેન’ શીર્ષકવાળું 51 કાવ્યોનું પુસ્તક પ્રકાશિત કર્યું. તેમાં મોટાભાગની નાટ્ય-એકોક્તિઓ છે, પણ આધુનિક વાચકને પણ તે વાંચવી ગમે તેવી છે. વિવેચકોએ મુક્ત કંઠે તેની પ્રશંસા કરી અને કવિને દાન્તેના તથા પ્રીરાફેલાઇટ બ્રધરહુડના મૂર્તિમંત સ્વરૂપ તરીકે નવાજ્યો.
કવિ તરીકેની તેમની કીર્તિમાં તેમની કૃતિ ‘ધ રિંગ ઍન્ડ ધ બુક’ પ્રકાશિત થયા પછી ઝડપથી વૃદ્ધિ થઈ. 12 ગ્રંથોમાં લખાયેલા અને 21,000 પંક્તિઓમાં પ્રસરેલા આ સુદીર્ઘ કાવ્યમાં 12 નાટ્ય-એકોક્તિઓ છે. 1698માં રોમમાં થયેલી એક હત્યા અને તેના મુકદ્દમા ઉપર આધારિત આ કવિતામાં જુદાં જુદાં પાત્રો આ ગુનાને પોતપોતાની રીતે મૂલવે છે. વૃત્તાંતો એકેબીજાથી વિરુદ્ધ હોવા છતાં છળ અને આત્મ-નિરીક્ષણનાં જાળાં પછવાડેથી છેલ્લે સત્ય ડોકાય છે. આ કૃતિના પ્રકાશન પછી લંડનમાં એકપ્રભાવશાળી કવિ તરીકે રૉબર્ટ બ્રાઉનિંગનું વ્યક્તિત્વ ઊપસ્યું. આરંભની કારકિર્દીમાં એલિઝાબેથ કરતાં કવિ તરીકેની કીર્તિ ઓછી હોવા છતાં 1870 સુધીમાં તો તેમની સરખામણી લૉર્ડ ટેનિસન જેવા કવિઓ સાથે થવા માંડી. તેમની કવિતાનો પ્રભાવ આધુનિક કવિઓ ટી. એસ. એલિયટ અને એઝરા પાઉન્ડ ઉપર જોવા મળે છે. ઊર્મિ-કાવ્યોના તેમના છેલ્લા સંગ્રહ ‘એપિલૉગ’માં તેમણે એક સ્થળે લખ્યું છે કે પોતે ક્યાંય પાછી પાની કરી નથી. સદા આગેકૂચ જ કરતો રહ્યો છે. ‘નિશાનચૂક માફ, માફ નહિ કિંતુ નીચું નિશાન’ વાળી વાત કરીને તેમણે આશાવાદની તરફેણ કરી છે.
સૌજન્ય : ગુજરાતી વિશ્વકોશ
-
આત્મઘાતમાંથી પદ્મશ્રી
વાંચનમાંથી ટાંચણ
– સુરેશ જાની

‘મને જીવવા પણ નથી દેતા, અને મરવા પણ નથી દેતા.
તો હવે મારે કરવું શું?’આપઘાતના કારણે મરણ પથારીમાં પડેલી કલ્પનાએ ઘરનાં માણસો અને હોસ્પિટલના સ્ટાફની અથાક સારવારથી બચી ગયા બાદ, આ સવાલ પોતાની જાતને પુછ્યો. એ સાથે એના દુખિયારા જીવનમાં નવી પરોઢની શરૂઆત થઈ ગઈ.
૧૯૬૧ની સાલમાં મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના રોપરખેડા ગામમાં દલિત કુટુમ્બમાં એક પોલિસ કોન્સ્ટેબલના ઘરમાં કલ્પનાનો જન્મ થયો હતો. બે બહેનો અને બે ભાઈઓ વચ્ચે કલ્પના સૌથી મોટી હતી. ‘સુખ શું?’ એનો થોડો અણસાર બાળપણમાં મળ્યા બાદ એના નસીબમાં હતું – માત્ર દુઃખ, દુઃખ અને દુઃખ જ ! બાર વર્ષની થઈ ત્યાં સુધી નિશાળમાં બીજાં બાળકો તેને હડધૂત કરતાં હતાં. એને ભણવાના બહુ કોડ હતા.
પણ એમના સમાજમાં ‘આટલી મોટી થયેલી છોકરીને તો પરણાવી દેવી જ જોઈએ.’ એવા ખ્યાલના કારણે માબાપે તેને દસ વર્ષ મોટા વર સાથે પરણાવી દીધી. અને સાસરું પણ કેવું ? મુંબઈના ઝુંપડપટ્ટી વિસ્તારમાં એક જ રૂમના ખોરડામાં જેઠ/ જેઠાણી સાથે એમનો સંસાર શરૂ થયો. જેઠ-જેઠાણીની હકૂમત અને પરણ્યાની પરવશતાને કારણે, જીવન અને જીવનની આશાઓ વિશે કશા ખ્યાલ વિનાની કલ્પનાને મેણાંટોણાં તો ઠીક, ઢોરમાર પણ મુંગા મોઢે ખમી ખાવો પડતો હતો.
છ મહિના પછી એનો બાપ એને મળવા આવ્યો ત્યારે તે પોતાની દીકરીને ઓળખી પણ ન શકે, એટલી એ સૂકાઈ ગઈ હતી. કંટાળીને તે એને પોતાની સાથે પાછી લઈ ગયો અને તેનું શિક્ષણ શરૂ કરાવ્યું. પણ એ સમાજમાં ‘પરણ્યા પછી તો સ્ત્રી સાસરે જ શોભે.’ – એ માન્યતાને કારણે એ અને એનાં માવતર સામાજિક તિરસ્કારનો ભોગ બનતાં રહ્યાં. આ ક્રમ લગાતાર ચાર વર્ષ ચાલુ રહ્યો. છેવટે કંટાળીને સોળ વર્ષની કલ્પના જંતુનાશક દવાની ત્રણ બાટલી ગટગટાવી ગઈ.
પણ હાય! નસીબ બે ડગલાં આગળ હતું. એની કાકી અને હોસ્પિટલના સ્ટાફની સારવારના કારણે કલ્પના બચી ગઈ. ત્યારે એના મગજમાં ઉપર જણાવેલ વિચાર ઘોળાવા માંડ્યો. વિધાતાએ એને જીવનની કિમ્મત સમજાવી દીધી અને એના મનમાં આ મંત્ર જડબેસલાક ઠરીઠામ થઈ ગયો –
अपना हाथ जगन्नाथ ।
કલ્પનાએ નક્કી કર્યું કે કોઈના મેણાં ટોણાંની પરવા કર્યા વિના,, તે હવે પોતાની જિંદગી જાતે બનાવશે. તેને એ પણ સમજાયું કે, ’નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ.’ હવે પાડોશીઓની ટીકાઓ તેને અપમાનજનક લાગવાને બદલે પ્રેરક બનવા લાગી. દરેક મેણાંની સાથે આત્મનિર્ભર થવાનો ખ્યાલ દૃઢ થતો ગયો.
ચાર વર્ષ બાદ નસીબ અજમાવવા તે કાકાની સાથે મુંબઈ રહેવા ગઈ; અને કપડાં બનાવતા કારખાનામાં નોકરીએ જોડાઈ ગઈ. જેમ જેમ પગાર આવતો ગયો, તેમ તેમ તેનું ઓશિયાળાપણું અદૃશ્ય થવા લાગ્યું. તેના ચતુર મનમાં એ પણ સમજાયું કે, ‘ગાડીમાં ફરતા, શેઠનું માન કેટલું બધું છે?’ . એમની પાસે બહુ નાણાં છે, એટલે જ ને?
તેણે કાકાની સાથે બેન્કમાં જઈ ૫૦,૦૦૦ ₹ ની લોન લીધી અને સીવવાનો સંચો અને બીજી જરૂરી સામગ્રી વસાવી લીધી. એને ઢગલાબંધ કામ પણ મળવા લાગ્યું . અલબત્ત હવે તેની હેસિયર પગારદાર કામદાર કરતાં અનેક ગણી વધી ગઈ. બચત વધતાં બીજી લોન લઈને તેણે ફર્નિચરનો સ્ટોર શરૂ કર્યો.
ગગનવિહારી આ પંખીને પછી તો પાંખો ઊગવા લાગી. ૧૯૯૩ની સાલમાં તેણે જમીન ખરીદવા કમર કસી. જમીન ખરીદ્યા બાદ ચાર વર્ષે, એના બધા કાગળો તેના નામે થઈ શક્યા. ફરી એના નસીબમાં નવો ઝટકો આવીને ઊભો રહ્યો . એને બાતમી મળી કે, અન્ય મોટી હસ્તીઓએ એને ખતમ કરવા સોપારી આપી છે. ગામ પાછી વળવા એને ધમકીઓ પણ મળી. પણ હવે કલ્પના ‘ રોકી ન શકાય એટલી હિમ્મત’ ધરાવતી ચંડિકા હતી. તે તરત જ પોલિસ સ્ટેશનમાં ગઈ. એની જીવન કહાણી સાંભળી પોલિસ વડાએ તરત એને બંદૂક માટે લાયસન્સ આપી દીધું. સાંજે તે ઘેર પાછી ફરી , ત્યારે સામે આવનાર બધી આપત્તિઓને ઘોળીને પી જવા જેટલી ખુમારી તેના દિલો દિમાગમાં છવાયેલી હતી. તેનો જમીન મિલ્કતનો ધંધો હવે બરાબર જામી ગયો.
આમ ને આમ કલ્પનાનો જીવન તોખાર તેજગતિએ આગળ ધપતો રહ્યો. ૨૦૦૧ની સાલમાં ફડચામાં ગયેલી ‘કામાણી ટ્યુબ’ના શેર તેણે બહુ ઓછી મુડીથી ખરીદી લીધા. હવે તેને બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત થયું. કાળક્રમે એની સૂઝથી એ કંપની નફો કરતી થઈ. હવે તેનો સમગ્ર વહિવટ કલ્પનાના હાથમાં આવી ગયો.
પોતાની જીવન કથનીના આધાર પણ તેણે મરાઠી ભાષામાં એક ફિલ્મ પણ બનાવી છે; જે હિન્દી અને તેલુગુ ભાષામાં ડબ પણ થઈ છે. [KS Film Production] એ ફિલ્મ જોઈને ઘણી વિવશ સ્ત્રીઓને પ્રેરણા મળી છે.

આજની તારીખમાં કલ્પનાની અંગત મૂડી ૧૧ કરોડ ડોલરથી વધારે છે. અંગત જીવનમાં જન્મથી કલ્પના બૌદ્ધ ધર્મી છે અને આપબળે ભારતના ઘડવૈયા બનેલા સ્વ. ભીમરાવ આંબેડકરને પોતાની પ્રેરણા મૂર્તિ માને છે. ૧૯૮૦ ની સાલમાં ૨૨ વર્ષની ઉમરે તેણે સમીર સરોજ સાથે પુનર્લગ્ન કર્યા હતા. તેમને અમર નામે દીકરો અને સીમા નામે દીકરી પણ છે. ૧૯૮૯ માં તેના પતિના અવસાન બાદ તેના લોખંડના કબાટ બનાવવાનો ધંધો કલ્પના સંભાળતી હતી. હાલમાં તે શુભકરણ સાથે પરણેલી છે. તે અવારનવાર શાળાઓમાં બાળકોની સાથે સમય પણ ગાળે છે.

૨૦૧૩ની સાલમાં ભારત સરકારે પદ્મશ્રીનો ઈલ્કાબ આપીને શૂન્યમાંથી આપબળે આગળ ધપનાર આ વીરાંગનાનું બહુમાન પણ કર્યું છે.

સંદર્ભ –
https://en.m.wikipedia.org/wiki/Kalpana_Saroj
https://www.navhindtimes.in/2016/05/27/magazines/kuriocity/angad-daryani-maker-of-things/
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સરગમના શાંત જાદુગર: કાંતિભાઈ સોનછત્રા
લ્યો, આ ચીંધી આંગળી
રજનીકુમાર પંડ્યા
( શ્રી કાંતિભાઇ સોનછત્રા બે મહિના પહેલાં જ અવસાન પામ્યા છે )
કોઇ માણસ જે કાંઈ શબ્દો બોલે, તેના સાદા અર્થ સામે ના જોવું. બોલતી વખતે એની આંખોમાં જે ભાવ ડોકાય, તેની સામે જોવું, આમાંથી જ એના દિલના તળિયે પડેલી આશા-નિરાશા, ખુશી-નાખુશી, મધુરતા – કટુતા કળાઈ આવે. આવી ટેવ પાડી છે. પણ આમાં જે ગ્રંથિ બાંધીને ગયા હોઈએ એ આપણને તટસ્થ ભાવ કશું ઉકેલવા જ ના દે. આપણે મનમાં ધાર્યું હોય એવું જ વંચાય. આપણે રાજી થઈને પાછા વળીએ કે જોયું ? આપણે ધારતા હતા તેવું જ નીકળ્યું ને ? પણ હકીકતમાં એથી ઊલટું હોય એવું બને. અંદર ન ધાર્યું હોય એવું પડ્યું હોય, જેને આપણે સ્પર્શી જ ન શક્યા હોઈએ.

કાંતિલાલ સોનછત્રા કાળાં ચશ્માં પહેરતા હતા એટલે એમની આંખોમાં તો આપણે શારડી ના ઉતારી શક્યા. વાત કરતાં કરતાં એમનાં આંગળાં સળવળ સળવળ થયા કરે. અવાજમાં પ્રકંપ જન્મે, ધ્વનિની સપાટી નીચે જાય. વળી ઊંચી આવે. ખરજમાં બોલે. તારમાં આવતાં આવતાં વળી કોમળ સુધી પહોંચીને અટકી જાય.
ગૌરવશાળી ટાલને કારણે લલાટ તેજસ્વી લાગે. ચહેરો ગંભીર ખરો, પણ ગમગીન નહીં. મેં ઘણું શોધ્યું, ઘણું શોધ્યું કે ક્યાંક પણ એમાંથી હતાશા-ભગ્નાશા નીકળે, થોડા ઘણા પણ સિનિક હોવાનાં નિશાન નીકળે. ક્યાંક પણ કોઇકનું કડવું બોલે. પણ એ તો તલત મહેમૂદના સ્વરમાં કર્કશતા શોધવા જેવો નિષ્ફળ પ્રયત્ન નીકળ્યો. અંતે હું મરણિયો થઇ ગયો. પૂછી જ નાખ્યું : “તમારાથી કમ શક્તિવાળા સંગીતજ્ઞો આજે મુંબઈમાં ચાર-ચાર પાંચ-પાંચ બંગલા-કાર, અને ડઝનબંધ કરારો ધરાવે છે. ને તમે રાજકોટમાં ‘સરગમ’ નામના નાનકડા મકાનમાં વિદ્યાર્થીઓને ફક્ત સંગીત શિખવાડવામાં જ જીવન વ્ચતીત કરો છો. ભલા માણસ, અમને પીડા થાય છે – તમને નથી થતી ?”
મારી સાથે આવેલા ‘સ્ટાર પેકેજિંગ’વાળા નરેશ જોષી અને કિરીટભાઈ આર્કિટેક્ટ એમના ભક્ત, બલકે એ જ મને અહીં લઈ આવેલા. બંને જુવાનિયા મારી સામે ફાટી આંખે જોઈ રહ્યા. એમને ક્યાંથી કલ્પના હોય કે હું આવું અડબંગ પૂછીશ ? મેં એમના રોષથી બચવા એમના સામે જોયું ન જોયું કર્યું ને કાંતિભાઈના મોં સામે જોયું તો એ મરકી પડ્યા. એ બોલ્યા : “તમારા જેવું ઘણા મને પૂછે છે. પણ મનેય મારી જાત માટે લાગણી છે. એટલે હું મારી જાતને આવું કદી નથી પૂછતો. પીડા હંમેશા રેઈસમાં પાછળ રહી જનારને થાય છે, મસ્તીમાં ચાલ્યા જતા માણસને નહીં. હું રેઇસમાં ક્યાં હતો કદી ? શેની પીડા ?”
“તે તમે કદી ફિલ્મોમાં નહોતા ? મને તો એમ કે હતા.”
“ફિલ્મોમાં હતો. હતો ત્યારે હતો. રેઇસમાં કદી નહોતો. રેઇસ કરનારા નાના પ્રાણીઓ જોડે તો કદી નહોતો. ગજરાજો જોડે હતો. પંકજ મલ્લિક, હેમંતકુમાર, આર.સી.બોરાલ, ભપ્પી લહેરીનાં મા-બાપ અપરેશ લાહિરી – બંસરી લાહિરી, તપનબાબુ. આ તરફ ક્લાસિકલ ઉસ્તાદોમાં બડે ગુલામઅલીખાં, ભીમસેન જોશી, પંડિત જસરાજ, વિલાયતખાં એવાઓ જોડે સંગત કરી. હું બંગાળની ધરતી પર હતો. કલકત્તા હતો. ત્યાં મુંબઈની તાસીર ક્યાંથી હોય ?”
“પણ લોહી તો કાઠિયાવાડનું, ખરું ?”
“હા, લોહી કાઠિયાવાડનું. ગુજરાતી હોવાની છાપ બહુ નડે. બંગાળની તો નાનકડી બેબીય હાર્મોનિયમ વગાડતી હોય. એમને મન ગુજરાતી એટલે વેપારી. આ છાપ ભૂંસતા મને વરસો લાગ્યાં. જન્મ રાજકોટમાં, પણ બાપા વિઠ્ઠલદાસ ઠાકરશી સોનછત્રાનો તંબાકુનો ધંધો કલકત્તામાં. એટલે ભણ્યો કલકત્તાની એંગ્લો ઇન્ડિયન સ્કૂલમાં. હાર્મોનિયમનો નાદ છેક નાનપણથી એવો લાગેલો કે શી વાત કરું ?”
“કરો ને! ” મેં કહ્યું : “અમને સંગીતવંચિતોને સંગીતની વાત બહુ ગમે. બ્રહ્મચારીઓને અપ્સરાઓની વાતો અંદરથી સાંભળવી ગમે, એમ જ સમજો.”
“સાત વરસની ઉંમરે શાળાના વાર્ષિક સમારંભમાં કે.એલ. સાયગલ અતિથિવિશેષ હતા. એમની હાજરીમાં હાર્મોનિયમ બજાવ્યું. એ ઊભા થઇ ગયા. મારે ખભે ઉષ્માથી હાથ મૂકી મારા પિતાને શોધ્યા. બોલાવીને કહે કે આ છોકરાને તમે બાકાયદા સંગીત-તાલીમ અપાવજો. નહીંતર એક કલાકારને રૂંધી નાખવાનું પાતક લાગશે. મારા પિતાજી પાછા સંગીતના અભ્યાસી અને રસિયા ખરા. મોટા મોટા ઉસ્તાદોના કાર્યક્રમોમાં મને આંગળીએ લઇને જતા. એટલે એમને એ વાત અબ્રહ્મણ્યમ્ ન લાગી. મને રીતસર પાશ્ચાત્ય સંગીતની તાલીમ અપાવી પણ ખરી. મારો હાર્મોનિયમ પર બેઠેલો હાથ વધારે તાલીમબદ્ધ બન્યો. રાજકોટમાં રામકૃષ્ણ મિશન તરફથી દર શનિવારે થતા રામનામ સંકીર્તનમાં હાર્મોનિયમથી સંગત કરીને ભાગ લેતો, એ મને બહુ કામમાં આવ્યું. એ પછી પણ સંજોગો એવા બનતા ગયા કે દોડતાં ઢાળ મળે એવા. ૧૯૪૨ ની સાલમાં કલકત્તામાં બોંબમારો થયો એટલે પાછો રાજકોટ ભેગો થયો, પણ અહીં એવી વિભૂતિની મુલાકાત થઈ, જેની કલ્પના જ નહીં. પોરબંદરના મુખીયાજી દ્વારકેશજી મહારાજનું નામ તમે સાંભળ્યું કે ?”

“હા,” મેં કહ્યું : “માસ્ટર વસંતે એક વાર યાદ કરેલા. ભારતના ખ્યાતનામ સંગીતજ્ઞ અને હાર્મોનિયમ પ્લેયર ને ?”
“હા, હા, એ જ.” કાંતિભાઇ બોલ્યા, “’૪૨ માં એમનો જન્મદિવસ ચૈત્ર માસમાં રાજકોટમાં ઊજવાયો. માસ્ટર વસંત પણ આવેલા. એ વખતે મુલાકાત થઇ એમની. એમણે મને હિંદુસ્તાની રાગરાગિણીઓ હાર્મોનિયમ પર કેમ અને કેવી રીતે વગાડાય તેની દિશાસૂઝ આપી. આ પછી ૧૯૪૫-૪૬ માં પાછો કલકત્તા ગયો ત્યારે મારું સંગીતજીવન પલટી નાખે તેવો બનાવ બન્યો. તે એ કે એક તો આર.સી.બોરાલનું ઘર અમારા ઘરની નજીકમાં. એમના ગાઢ પરિચયમાં આવ્યો. બીજું એ કે જગપ્રસિદ્ધ ઇટાલિયન પિયાનોવાદક સર ફ્રાન્સિસ કાસાનોવાના સીધા પરિચયમાં આવ્યો.”
કાંતિભાઈ આ નામ બોલ્યા ને મારા મનમાં જૂના સંગીતની રિમઝિમ વરસી રહી. ઓહોહો! પંકજ મલ્લિકનું મશહૂર પેલું ગીત “પ્રાણ ચાહે નૈન ન ચાહે, અરે, તૂં ક્યું યૂં શરમાયે” અને હેમંતકુમારનું એક વ્યથા – ફરિયાદનું ગીત “અબ યાદ હમેં ક્યું આતી હો, ઉજડ ગઈ દુનિયા અપની, યાદ હમેં ક્યું આતી હો…” અને “વો આંખ સે પિલા ગયે. પિલા ગયે, પિલા ગયે.” આ ત્રણે ગીતોમાં જે પાશ્ચાત્ય ઓરકેસ્ટ્રેશનની જાદુઇ અસર હતી તે એ જમાનામાં તો તાજી, નવી અને અનોખી હતી, પણ આજે હૃદયને એટલું જ પ્રકંપિત કરી નાખનારી રહી છે. એના સર્જક એ જ ફ્રાન્સિસ કાસાનોવા. બીથોવન અને મોઝાર્ટથી એ ઘણા દૂર, પણ એમના પછી તરત જ જેમનું નામ લેવું પડે એ પણ એ જ….. ફ્રાન્સિસ કાસાનોવા.”
“હા” કાંતિભાઈ બોલ્યા – “એમની પાસેથી પ્રત્યેક્ષ અને પરોક્ષ ઘણું શીખ્યો. હાર્મોનિયમ પછી પિયાનોનો નાદ, એની સમજ એની આંટીઘૂટી બધું જ એમણે મારી સંગીતચેતનામાં ઉતાર્યું.”
“એનો અર્થ તો એમ જ કે એક તરફ તમે ભારતીય શાસ્ત્રીય સંગીતના સંસ્કાર ગ્રહણ કર્યા અને પશ્ચિમના ઉસ્તાદો પાસેથી પાશ્ચાત્ય સંગીતના.”
“બંને વાત સાચી.” એ બોલ્યા, “જુઓ ૧૯૫૪ માં કલકત્તામાં સદારંગ મ્યુઝિક કૉન્ફરન્સ હતી. મારી સોલો આઈટમ હતી. મેં નક્કી કર્યું કે મારે અમુક ભારતીય રાગ હાર્મોનિયમ પર આપવો છે. પણ આપવો છે મારા પોતાના કંપોઝિશનમાં. સવાલ એ થયો કે મારા કંપોઝિશનને નામ શું આપવું ? મૂંઝાઈને મેં મારા ગુરુતુલ્ય પંડિત મણિરાજાને પૂછ્યું. એમણે એ સાંભળ્યું. બહુ રાજી થયા. કહે કે જા, આને રાગ ‘સોગંદ’ નામ આપજે. મેં એ નામ આપ્યું અને એ નામ સાથે જ કલકત્તાનાં તમામ અખબારોએ એનાં બે મોઢે વખાણ કર્યાં. આવો જ બીજો પ્રસંગ પણ યાદ આવે છે. ૧૯૬૯ માં મુંબઇમાં એક કાર્યક્રમમાં મેં પિયાનો પર લગભગ લોકોને બહુ પરિચિત નહીં એવો એક માલિન રાગ એક કલાક વગાડ્યો. મદનમોહન, નૌશાદજી, કલ્યાણજીભાઇ જેવા ગુણીજનો આવેલા. બહુ પ્રભાવિત થઇ ગયા. સામેથી આવીને મને મળ્યા.”
“મને કહે કે કેટલી રાગરાગિણિઓ જાણો ? મને કહેતાં સંકોચ તો બહુ થયો, પણ જાણ ખાતર કહેવું પડ્યું કે પંદરસો રાગરાગિણી જાણું છું. અને કલાક-દોઢ કલાકની એક એવી અઢી સો. કહો ત્યારે બજાવી જાણું, પણ શો અર્થ છે આ બધાનો ?”
“કેમ ?” મેં પૂછ્યું : “એમાંથી અર્થોપાર્જન ના થાય ?”
“ના.” એ બોલ્યા : “આનંદોપાર્જન થાય કે અહો અહોપાર્જન થાય. બાકી ફિલ્મી દુનિયામાં આ બધું વણખપનું છે.”
“પણ તમે તો ફિલ્મોમાં મ્યુઝિક આપેલું ને ?” મેં પૂછ્યું : “તમને હું નહોતો જાણતો ત્યારનો આ વાત જાણું ! નથી સાચી ?”
“સાચી છે.” એ બોલ્યા : “પણ બંગાળી ફિલ્મમાં શ્રીકાંતના નામે આપેલું. તપનબાબુના મદદનીશનું એક ચિત્ર હતું. ‘આલોકફેરા’ એટલે કે પ્રકાશના ફેરા. એમાં એક હાર્મોનિયમના ઉસ્તાદની જ વાર્તા હતી. આખી ફિલ્મમાં સંગીત આપવા ઉપરાંત સળંગ હાર્મોનિયમ મેં બજાવેલું. એક બંગાળી ફિલ્મ ‘લવકુશ’માં પણ સંગીત કંપોઝ કરેલું. એ ફિલ્મ સુપરહિટ ગઇ એના સંગીતના કારણે. એકત્રીસ અઠવાડિયાં ચાલેલી. એમ તો હીરોઇન અઝરા, હીરો કિશોરકુમાર અને વિશ્વજિત હતા એવા એક બંગાળી ચિત્રમાં એક ડાન્સ અલગ અલગ છે, એ રીતે કંપોઝ કરી આપેલો. જો કે, એમાં સંગીત હેમંતકુમારનું હતું, પણ એના ડાન્સનું સંગીત નિર્માતાને પસંદ નહોતું. એટલે એમની મંજૂરી લઇને મારી પાસે કરાવેલું.”
“તો પછી કલકત્તા જ કેમ ના રહી પડ્યા ?”
“એમ તો પિતાજીના અવસાન પછી સત્તાવન અઠ્ઠાવનની સાલથી ધંધો સમેટવા માંડેલો. કારણ કે સંગીતને જ કારકિર્દી તરીકે અપનાવવાની ઇચ્છા. પણ ફિલ્મો પ્રત્યે વિશેષ રુચિ નહીં. કલકત્તા રહેવાનું કોઇ મોટું આકર્ષણ નહીં. મુંબઇના ફિલ્મજગતની ઓફરો હતી. પણ એમાં એવું હતું કે સ્ટંટ પિક્ચર્સની ઓફરો હતી, જેમાં મને રસ નહોતો. ને મોટા પ્રોડ્યુસર્સને ગળે ઘૂંટડો ઉતારતાં નવ નેજાં પાણી ઊતરે. ખુદ આપણા વિજય ભટ્ટ મારી કદર કરે, પણ કામ આપવામાં એમને ડિસ્ટ્રિબ્યુટર્સનો ખોફ નડે. ત્રણ-ચાર વરસ બોમ્બેમાં રહીને અડિંગો જમાવવાની મારી તૈયારી પણ નહીં. વૃત્તિ પણ નહીં, જરૂરત પણ નહીં. આમ ‘હમ સે આયા ન ગયા, તુમ સે બુલાયા ન ગયા. ફાસલા પ્યાર મેં દોનોં સે મિટાયા ન ગયા’ જેવો મામલો બન્યો.”
“એમ તો એક ગુજરાતી ફિલ્મમાં તમે સંગીત આપેલું નહીં ?” નરેશભાઈ બોલ્યા.
“હા”, કાંતિભાઈ બોલ્યા : “એના મારા બંગાળી ચિત્ર ‘લવકુશ’ના જૂના ગુજરાતી પ્રોડ્યુસર હતા. એમણે ‘લાખા-લોયણ’ બનાવેલું. એમાં સંગીત મેં આપેલું. ખાસ રાજકોટથી જતો.
(‘લાખા-લોયણ’નાં ગીતો અહીં
https://www.youtube.com/watch?v=D4E0czo_vzc&list=PLWv9TptaX8uGKLhCJKwb0dyks-jwPACkh
સાંભળી શકાશે.)
એમ તો રવીન્દ્ર દવેએ ફિલ્મ ‘રાંદલમા’ માટે મારી પાસે બે ગુજરાતી ગીતો કંપોઝ કરાવેલાં તે એમણે પછી ‘એવરત-જીવરત’માં સામેલ કર્યા. ચાલ્યા કરે. ફિલ્મલાઇનમાં કશી નવાઇ નથી. બાકી મારો મૂળ શોખ હાર્મોનિયમ અને પિયાનોવાદનનો.”

(કાંતિલાલ સોનછત્રાના વાદનની લોંગ પ્લે રેકોર્ડનું કવર) કનકભાઈ ક્યારનાય શાંત તે વળી એકાએક બોલ્યા ને બહુ નવી જાણકારી આપી. “પોલિડોરે એમના પિયાનોવાદનની લોંગપ્લે બહાર પાડી છે. તેમાં પિયાનો પર રાગ બિહાગ (તીન તાલ) અને રાગ આહીર ભૈરવ (તીન તાલ) અને પહાડી ધૂન (ખેમટા તાલ) માં છે. અદભુત છે. તે આપણા ભારતમાં તો નહીં, પણ બી.બી.સી. પરથી ક્યારેક પ્રસારિત થાય છે. ટોની મેનરિઝિસ નામના ખ્યાતનામ પિયાનોવાદક એમના જમણેરી પિયાનોવાદનની નિપુણતા અને કાબૂ જોઇને એટલા ખુશ થયેલા કે એશિયામાં શ્રેષ્ઠનું બિરુદ કાંતિભાઇને આપેલું. કહે કે તમે પિયાનો પર રાગ ચારુકેશી વગાડો છો અને હાર્મોનિયમ પર માત્ર હાર્મોનિયમ જ નહીં, પણ સિતાર, દિલરુબા, શરણાઇ જેવાં વાદ્યોની બજવણીનો આભાસ ઊભો કરી શકો છો તે કઇ રીતે ? એ અમને સમજાવો.”
“સમજાવો.” મેં કાંતિભાઇને કહ્યું. “લો. સમજાવીશ.” એ ફરી મરકીને બોલ્યા. “મારી જીભ દ્વારા નહીં, પણ મારા નવા નવા તૈયાર થતા વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યા વહેતી રહે એમાં એની સાર્થકતા છે.” એ બોલ્યા : “વિદ્યાર્થીઓ સ્વશક્તિ અનુસાર કાર્યરત બન્યા છે. હાર્મોનિયમ અને પિયાનોનું સ્થાન હવે ઇલેકટ્રોનિક ઓર્ગન્સ સિન્થેસાઇઝરે લીધું છે. જમાના પ્રમાણે ઉચિત પણ છે. સામાન્ય રીતે ‘બેબી પિયાનો’ની સાઇઝનાં ઓર્ગન હવે સામાન્ય રીતે ઉપલબ્ધ છે. તેથી ઘણી રીતે શીખવા, શિખવાડવાની અનુકૂળતા આવે છે. ઉપરાંત આમાં અનેક પ્રકારના અવાજો (સાઉન્ડ) ની સુવિધા હોઇ મારા જીવનના પ્રાથમિક તબક્કામાં જે રીતે વેસ્ટર્ન કોન્સર્ટો સાંભળેલા તેમાં જુદાં જુદાં ગ્રૂપનાં વાજિત્રો અને વિવિધ સાઉન્ડની રેન્જ-ટેમ્પરામેન્ટ, ચાલ (મૂવમેન્ટ), સિમ્ફની વગેરેની રજૂઆતોનો અનુભવ તાદૃશ થાય છે. કદાચ શબ્દોમાં વર્ણવવું બંધબેસતું નહીં થાય. ગયા ફેબ્રુઆરીમાં અહીં રાજકોટ ખાતે એક સ્થાનિક સંસ્થા દ્વારા મારા અગિયાર વિદ્યાર્થીઓનો કાર્યક્રમ યોજાયેલો તેમાં આઠ વર્ષથી અઢાર વર્ષનાં ભાઇબહેનો – દરેકે Solo Items દોઢેક કલાક વગાડેલી. દરેકે મોટા ઓર્ગન ઉપર પોતપોતાની કૃતિઓ રજૂ કરી હતી અને ખૂબ જ આનંદ કરાવ્યો હતો. જનતાએ કાર્યક્રમ અનોખી રીતે માણ્યો હતો. કોઇ પ્રકારના ગીત-વોકલ મિમિક્રી, ડાન્સ વગર, માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ અને તે પણ ઇલેક્ટ્રોનિક ઓર્ગન સતત સાંભળે એ અનુભવ દરેકને નવીન લાગ્યો હતો. અને છેવટ સુધી રસ જળવાયો, જેની વર્તમાનપત્રોએ પણ નોંધ લીધી હતી. આવું આવું ચાલ્યા કરે છે. તમને નવાઈ લાગશે, પણ જૂની ફિલ્મનાં ગીતો હું એકલો પણ મારા ઓર્ગન પર સતત બે-અઢી કલાક આપું, જેમાં તબલાંની પણ જરૂર નહીં ને કોઇ સંગીતની પણ નહીં. લોકો જૂનાં ગીતસંગીતની રિમઝિમમાં એવા તો નાહી રહે કે ભાવસમાધિમાં ડૂબી જાય.”
વાત સાચી, પણ આપણો જીવ બળે એવી. તમે અમને અમારી વિદ્યાર્થી – અવસ્થામાં કેમ ના મળ્યા, મારા મહેરબાન ! તો પેનને બદલે પિયાનો પર હાથ સાફ કરતા હોત ને અમે !
‘થ્રી ઈડીયટ્સ’, ‘પીકે’ જેવી સફળ ફિલ્મોમાં પાર્શ્વસંગીત આપનાર અતુલ રાણિંગા, પિયાનો પર સૌથી ઝડપી આંગળીઓ ફેરવવા માટે જાણીતા પલ્લવ પંડ્યા સહિત અનેક વિદ્યાર્થીઓ કાંતિભાઈના માર્ગદર્શનમાં તૈયાર થયા છે અને હજી થઈ રહ્યા છે.
કાંતિભાઈ સોનછત્રા રાજકોટમાં ૨૨, પ્રહલાદ પ્લોટ, “સરગમ” નામના બિલ્ડિંગમાં રહે છે. સંગીતઘાયલ કોઈ પણ એમના બારણાં ખટખટાવી શકે – પૂરી “સરગમ” ખૂલી જશે.
**** **** ****
કાંતિલાલ સોનછત્રાનું વાદન આ વિડીયો ક્લીપો દ્વારા માણી શકાશે.
લેખકે લીધેલી મુલાકાત દરમિયાન કાંતિલાલે કીબોર્ડનું નિદર્શન આપ્યું તેની ક્લીપ:
તેમનું પિયાનોવાદન અહીં માણી શકાશે.
કીબોર્ડ પર પાશ્ચાત્ય સિમ્ફનીનું વાદન.
(નોંધ: આ લેખ લેખક દ્વારા લેવાયેલી કાન્તિલાલ સોનછત્રાની જૂની મુલાકાત પર આધારિત છે. કાન્તિલાલ સોનછત્રા હજી બે મહિના અગાઉ જ ૩ નવેંબર ૨૦૨૨ ના રોજ અવસાન પામ્યા.)
લેખક સંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com -
ખાટલાકોર્ટે શ્વાનખટલો
વલીભાઈ મુસા
કેદીઓની બેરેક, રેલ્વે સ્ટેશનોના રેનબસેરા, હોટલોની ડોરમેટરીઓ, શહેરોની ફૂટપાથો કે દવાખાનાંઓના જનરલ વોર્ડની જેમ ઉનાળાની રાત્રિઓએ અમારા મહેલ્લાના લોકો પોતપોતાનાં આંગણાંમાં હારબંધ ઢોલિયાઓમાં સૂઈને, ઘરમાંના વીજપંખાઓને આરામ આપીને, વીજ ઉર્જાબચતની સરકારી ઘોષણાઓને આરામથી ઊંઘીને સન્માન આપતા હતા. ભસતાં કૂતરાં તેમની ઊંઘમાં ખલેલ પહોંચાડી શકતાં ન હતાં, કેમ કે દિવસભરના શ્રમનો તેમનો થાક અને મંદમંદ વાતા કુદરતી પવનનો પિચ્છસ્પર્શ મીઠી નિંદર માણવા તેમના માટે પ્રેરક બની જતાં હતાં.
પરંતુ હું એ બધાંમાં અપવાદ રૂપે જાગી રહ્યો હતો. આકાશદર્શન એ મારો શોખ હતો અને તદનુસાર હું તો પથારીમાં પડ્યો પડ્યો આકાશમાંના વિવિધ તારાઓ અને તારાસમૂહોને નિહાળી રહ્યો હતો. ટમટમતા તારલાઓ અને વાદળોમાં સંતાકૂકડી રમતા ચંદ્રના સૌંદર્યમાં હું એવો તો મગ્ન હતો કે પેલાં ભસતાં કૂતરાંના કર્કશ અવાજો મારી રસવૃત્તિને બાધક નિવડતા ન હતા.
પણ ત્યાં તો ધડધડ પગલાંના અવાજ સાથે હાથમાં લાકડી લઈને મહેલ્લાના છેડે રહેતા કાન્તિકાકા એક કૂતરા પાછળ એમ બબડતા દોડવા માંડ્યા કે ‘આજે જો તું મારી ઝાપટમાં ન આવ્યું, તો દિવસે તારી વાત; તને પાડી દીધું જ સમજજે.’
મેં ધીમા અવાજે પૂછ્યું, ‘કેન્ટ અંકલ, કેમ કેમ શું થયું?’
હું કાન્તિકાકાને કેન્ટ અંકલ નામે બોલાવતો હતો તેના સામે તેમણે મારા એવા પહેલા સંબોધનથી જ વાંધો લીધો ન હતો. તેમને પોતાને કદાચ તેમનાં ફોઈએ પાડેલું કાન્તિ નામ ગમતું નહિ હોય અને વળી મારા જેવો કોલેજિયન તેમને આવું અંગ્રેજી નામ આપે તે તેમને પસંદ પડી ગયું પણ હોય! જે હોય તે પણ દરેક વેકેશનમાં મારી પાસે દરરોજ અડધોએક કલાક તો તેઓ જરૂર પસાર કરે, કેમ કે અમારી વચ્ચે આત્મીયતાનો સેતુ બંધાઈ ચૂક્યો હતો.
‘અલ્યા અસોક, મારું બેટું એ એવું હેવાયું થઈ ગયું છે કે રોજ રાત્રે પથારીમાં મારા ભેગું સૂઈ જાય છે અને મને ગંદુગંદુ લાગે છે. ભલે પાપ થાય, પણ મારે તેને ઠેકાણે પાડવું જ પડસે.’
‘પેલું આલ્શેશિયન જેવું લાગે છે, તે તો નથી?’
’હા, એ જ. ભલે એ આલ્સેસિયન જેવું લાગતું હોય કે ફાલ્સેસિયન જેવું લાગતું હોય, પણ તેની આ હરકત ચલાવી ન લેવાય.’
મારું નામ જો કે અશોક હતું, પણ તેઓ અને અસોક કહીને જ બોલાવતા. મેં તેમને મારા નામના ઉચ્ચારને સુધારવા જણાવ્યું હતું ત્યારે તેમણે તેમની અશક્તિ જાહેર કરતાં મને મારું નામ જ બદલી દેવાની સલાહ આપી હતી. અમારી વચ્ચેનો આ મુદ્દે થયેલો સંવાદ જે હજુય મને યાદ છે, જે આ પ્રમાણે હતો :
‘કેન્ટ અંકલ, તમને ‘શ’ અને ‘સ’ વચ્ચેનો ઉચ્ચારભેદ તમારા ગુરુજીઓએ શિખવ્યો નથી કે શું?’
‘સાળાજીવન દમિયાન એ બિચારા એ સિખવવા ખૂબ મથ્યા, હું પણ મથ્યો; પરિણામ સૂન્ય. મારા પોતરાએ હોઠથી સીટી વગાડવાની ખૂબ પ્રેક્ટિસ કરીને તેના સંકર નામને ઠીક રીતે બોલવા મથામણ કરાવી, પરિણામ સૂન્ય. તારી કાકીએ જ્યારે મને હડફાવ્યો કે આ ઉંમરે સીટીઓ વગાડતાં તમને સરમ નથી આવતી, ત્યારે તેની વાતની સરમ ભરીને મેં સીટીઓ વગાડવી બંધ કરી. જો અસોક, દરેક માણસમાં કોઈ ને કોઈ કમજોરી તો હોય જ છે.’
વચ્ચે આડવાતમાં ઊતરી ગયો તે બદલ ક્ષમાયાચના. એ રાત્રે તો ઊંઘતા માણસોની ઊંઘને ખલેલ ન પહોંચે તે માટે મેં તેમને સવારે વાત કરવા જણાવ્યું હતું અને તેઓ ચૂપચાપ તેમના શય્યાસ્થાને જતા પણ રહ્યા હતા. મેં વિચાર્યું કે આગામી સવારે આ કૂતરા વિષય ઉપર કેન્ટ અંકલની ૭૦ની નહિ તો ઓછામા ઓછી ૧૬ એમએમની ફિલ્મ તો જરૂર ઉતારવી! વળી આમ કરવા પાછળનો મારો ઉમદા ખ્યાલ પણ એ હતો કે મારે પેલા નિર્દોષ પ્રાણીનો જીવ બચાવવો હતો અને માત્ર એટલું જ નહિ, પણ એ બેઉ વચ્ચેની નફરતની દિવાલને મારે તોડવી હતી.
સવારે નવેકના સુમારે હું જ્યારે ઓસરીના ખાટલે પંખા નીચે અખબાર વાંચી રહ્યો હતો, ત્યારે કેન્ટ અંકલ ખોંખારો ખાતા મારી પાસે આવ્યા અને સીધેસીધું બોલ્યા, ‘અસોક, બોલ એ નાલાયક કૂતરા અંગે તું સું કહેવા માગે છે?’
કેન્ટ અંકલે સામેથી જ આ વાત છેડી એટલે મારું કામ સરળ થઈ ગયું, નહિ તો મારે ફેરવી ફેરવીને તેમને આ વાત ઉપર લાવવા પડત! મેં કહ્યું, ‘અંકલ, મેં રાત્રે કહ્યું હતું કે એ આલ્શેશિયન જેવું લાગે છે, પણ હવે મારે કહેવું પડશે કે તે આલ્શેશિયન જ છે.’
‘એ તને જેવું કે જે લાગે તે ખરું, પણ મારા માટે તો એ કૂતરું માત્ર હતું, છે અને હવે નહિ રહે; કેમ કે તેની હયાતીનો આજે છેલ્લો દિવસ છે. તને હું પડકારું છું કે તું મને રોક સકે તો રોક!’ કેન્ટ અંકલે તો જાણે મારા સામે યુદ્ધ જાહેર કરી દીધું!
‘પણ અંકલ, તેની એક જ વખતની તમને ન ગમતી હરકત બદલ તમારે આવું ક્રૂર પગલું ન ભરવું જોઈએ!’
‘અલ્યા, એક જ વખતની નહિ; પણ ઉનાળો બેઠો ત્યારની દરરોજ રાત્રિએ બબ્બે ત્રણત્રણ વખતની તેની ગંદી હરકતે મારી રાત્રિઓની ઊંઘ હરામ કરી દીધી છે. એ તો તું ગઈકાલે જ તારા સહેરથી આવ્યો અને તને રાત્રે એક જ વાર અમારી ધમાચકડી જોવા મળી, એટલે તને તેના ઉપર દયા ઉભરાઈ આવે છે. બેટા, ગઈ રાત્રે જ તારા ઊંઘી ગયા પછી પણ મારે બેત્રણ હડીઓ કાઢવી પડી હતી!’
‘ઓહ, તો આપ કી યહ પુરાની દુશ્મની હૈ!’
‘જો અસોક, હું તારા ઘરે બેઠો છું એ મારી મર્યાદા છે અને તું એ તુચ્છ કૂતરાની જાત માટે મારા સામે મેદાને પડવા જઈ રહ્યો છે તેનું મને ભારોભાર દુ:ખ છે. આમ છતાંય દુસ્મન અથવા દુસ્મનના તારા જેવા વકીલની વાત એકવાર સાંભળી લેવાની મારી ફરજ છે. બોલ તારા અસીલના બચાવ માટેની તારી સી દલીલ છે?’
કાકો કંઈ અંગુઠાછાપ ન હતો, જૂની મેટ્રિક પાસ હતો. તેમણે તો મારા ખાટલાને કોર્ટમાં તબદિલ કરી દીધો. એ તો મારું મહેલ્લાના છેડા ઉપરનું અમારું વધારાનું પડતર ઘર હતું, જ્યાં વેકેશનમાં હું અભ્યાસ કરતો હતો અને રાત્રે સૂતો હતો; નહિ તો મારી ખાટલાકોર્ટે શ્વાનખટલો સાંભળવા અમારા આગળ પ્રેક્ષકવૃંદનો જમાવડો થઈ ગયો હોત!
‘જુઓ વડીલ, મારી દલીલ એ છે કે એ બિચારાને તમારી જ સાથે સહશયન કરવાની આદત પડી ગઈ છે, તે બતાવી આપે છે કે તે હાલનું દેશી નહિ, પણ પૂર્વજન્મનું વિલાયતી કૂતરું છે. વળી ઋણાનુબંધ પ્રમાણે તેનું તમારા તરફનું આકર્ષણ એ બતાવે છે કે તમે તેના અગાઉના કોઈક જન્મ વખતના માલિક હશો જ!’
‘જો અસોક, મારા આગળ તારો જીભનો જાદુ ચલાવીને મારા ધ્યેયમાંથી તું મને ડગાવીશ નહિ. હું બેપગો ઘોડો છું અને બચકું ભર્યા પછી માંસનો લોચો કાઢ્યા સિવાય મારાં જડબાંને પહોળાં કરી શકીશ નહિ. મારી ભીષ્મપ્રતિજ્ઞા સાંભળી લે, કાં તો તે નહિ અને કાં તો હું નહિ, સમજ્યો?’
આમ કહેતાં કેન્ટ અંકલનો નીચલો હોઠ ફરક્યો. મને સમજતાં વાર ન લાગી કે તેઓ ખરેખર ક્રોધાવેશમાં આવી ગયા હતા! મને તેમના ગુસ્સામાં તથ્ય પણ લાગ્યું, કેમ કે હું સમજી શકું છું કે જે માણસને ઉનાળાની રાત્રિની ઠંડક થયા પછીની ઘેરી ઊંઘ માણવાનો અનેરો લ્હાવો લેવાના બદલે એક કૂતરા પાછળ આખી રાત દોડાદોડી કરવી પડતી હોય તે આમ જ રીએક્ટ કરે!
‘કાકા મારા, હાલ તો તમારા સામે બેઠેલો હું તમારો દોસ્ત છું અને તમારો દુશ્મન તો તમારાથી છુપાઈને ક્યાંક ખૂણામાં ભરાઈ પેઠો હશે. મને ડર લાગે છે કે તમે મારા ઉપર તો ગુસ્સો નહિ ઠાલવો?’
‘એ માટે તો તું નિશ્ચિંત રહેજે. કોર્ટના મુકદ્દમાઓમાં વકીલોને પ્રતિપક્ષના અસીલો કંઈ મારવા ધસી જતા નથી હોતા! હવે સીધી વાત ઉપર આવ અને તારો ઋણાનુબંધનો તુક્કો મને સમજાવ.’
‘જુઓ કેન્ટ અંકલ, તમે એક વાત તો સ્વીકારશો જ કે માનવજાતના ધર્મ અને માન્યતાઓના વિવાદોને વિજ્ઞાને ઉકેલી આપ્યા છે. હાલમાં માણસનું ડી.એન.એ. પારખવા અને સમજવા માટે ઘણાં સંશોધનો થઈ રહ્યાં છે. મારા એક કોલેજિયન મિત્રે માત્ર કુતૂહલ ખાતર તેનો ડી.એન.એ. ટેસ્ટ કરાવ્યો, તો તેના વડવાઓનું મૂળ સ્વીટઝર્લેન્ડ સુધી પહોંચ્યું. મેં તમને અનાયાસે કેન્ટ અંકલ તરીકે સંબોધવાનું શરૂ કર્યું, તેમાં પણ મને કુદરતનો ભેદ સમજાય છે કે તમારું મૂળ કેન્ટોના કોઈક દેશમાં હોવું જોઈએ. તમારું વિવાદિત કૂતરું બીજા કોઈ સાથે નહિ અને માત્ર તમારી સાથે જ સૂવાનો એક નિર્દોષ અધિકાર પામવા માટે આજે તેના જાનની બાજી ખેલી રહ્યું છે. તે કંઈ તમારી પાસે શેમ્પુથી સ્નાન કરાવાવા, કોટન બડ્ઝથી તેના કાન સાફ કરાવવા, નેઈલ કટરથી તેના નખ કપાવવા, મોંઘાંદાટ પેટ બિસ્કીટ્સ કે નોનવેજ ટીનપેક્સનો આહાર આરોગવા, ગળે પટ્ટો કે ચેઈનના શણગાર સજાવવા કે એવી કોઈપણ જાતની અપેક્ષા રાખતું નથી. મહેલ્લામાં કેટલાંય માણસો છે, હારબંધ કેટલાય ઢોલિયાઓ છે અને છતાંય તમારા તરફ જ તે આકર્ષાય છે, તેને ઋણાનુબંધ નહિ કહો તો કયો બંધ કહેશો; ભાખરા-નાંગલ બંધ, નર્મદા બંધ કે ભાઈબંધ?’
કેન્ટ કાકો મારા છેલ્લા વિધાનથી બેવડ વળીને એવો ખડખડાટ હસ્યો કે તેમની આંખોમાં પાણી આવી ગયાં. તેમના હસવામાં હુંય ભળ્યો અને અમે બંને જણા કેટલાય સમય સુધી પાગલોની જેમ હસતા રહ્યા. સદનસીબે અમારી એકાકી જગ્યા હતી, નહિ તો અમે લોકોના કુતૂહલનો વિષય બની રહેત!
છેવટે અમને હસવામાંથી કળ વળી, ત્યારે તેમણે એટલું જ કહ્યું કે, ‘અલ્યા અસોકિયા, તું તો જીભનો જાદુગર નીકળ્યો! તેં તારા અસીલ પરત્વેના મારા ગુસ્સાને એવો તો ઠંડો પાડી દીધો કે તે હવે બરફ બની ગયો છે. હવે હું તારા અસીલને અભયદાન તો આપીસ; પણ મને રસ પડ્યો છે, તારી ડી.એન.એ.વાળી વાતમાં!’
‘તમે માનો કે ન માનો પણ ડી.એન.એ.ના પ્રતાપે ઘણા સમુદાયોના ઘમંડ ઓગળી ગયા છે. અમારો દેશ, અમે જ અહીંના મૂળ રહેવાસી એવી ભ્રામક વાતોને બુદ્ધિજીવીઓએ સાચી રીતે સમજી લીધી છે. સંશોધનો તો એમ કહે છે કે નજીકના ભૂતકાળમાં પારસીઓએ જેમ ઈરાનથી ભારતમાં સ્થાનાંતર કર્યું તેમ અગાઉ કેટલાય સમુદાયો અહીં આવી વસ્યા છે અને કેટલાયે પરદેશગમન કરી ચૂક્યા છે. ઉત્તર ભારતીય બધા આગંતુકો છે, અહીંના મૂળ વતનીઓ તો સાઉથ ઈન્ડીયન જ છે. હાલમાં પણ ગ્લોબલાઈઝેશન એવું નિમિત્ત બન્યું છે કે દુનિયાના મોટા ભાગના દેશો અમેરિકા કે ઈંગ્લેન્ડની જેમ વસાહતીઓના દેશ બની રહ્યા છે. કહેવાય છે કે આપણા રબારીબંધુઓ અરબસ્તાનથી અહીં આવી વસ્યા છે. સાઉદી અરેબિયાના બદ્દુઓ તરીકે ઓળખાતા એ ગ્રામ્યવિસ્તારના લોકોની રહેણીકરણી તેમના જેવી જ છે. એક સમુદાયે આપણા ત્યાં ઇજિપ્તથી આગમન કર્યું છે, તો બિચારા આફ્રિકનો ગુલામ બનીને વિદેશોમાં વેચાયા અને યુરોપ-અમેરિકાના વતની બન્યા. આપણા ત્યાં રાજસ્થાનના જેસલમેરમાં દરવર્ષે હિપ્પી જેવા જે વિદેશીઓ આવે છે, તેમનું માનવું છે કે તેમના પૂર્વજો અહીંના હતા.’
‘અલ્યા અસોક, તું તો ઘણું બધું જાણે છે. આ તારા ભણવામાં આવે છે કે તું બહારનું વાંચન કરે છે?’
‘કેન્ટ અંકલ, આ બધું મેં તમને હમણાં કહ્યું ને તે મારા મિત્ર પાસેથી સાંભળેલું છે. તે આ વિષયમાં ખૂબ ઊંડો ઊતર્યો છે. હવે મૂળ વાત ઉપર આવીએ. બોલો અંકલ, હવે આપણે પેલા આલ્શેશિયનનું શું કરવાનું છે?’
‘તું કહે તેમ, પણ એ મારા ભેગું સૂએ એ તો હરગિજ નહિ ચાલે. બીજું એ કે તેને ઘરમાં તો પ્રવેસવા ન જ દેવાય; કેમ કે તું તારી કાકીને સારી રીતે જાણે છે, એ અમને બેઉને ઘર બહાર તગેડી મૂકે.’ આમ બોલતાં કેન્ટ અંકલ મલકી પડ્યા.
‘તો વડીલ, એ શ્વાન મહારાજની તમારા સાથેની સહશયનની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે, ખરું કે?’
‘હા, પણ એ ઉકેલ માત્ર અહિંસક નહિ જ નહિ, સદભાવપૂર્ણ પણ હોવો જોઈએ. આપણે તેને જાકારો નથી આપવો. તેને આપણા મહેલ્લાના તમામ નાગરિક અધિકાર મળી રહેવા જોઈએ અને મારા ભેગું ન સૂએ તે જ પ્રસ્ન હલ થવો જોઈએ.’
એવામાં સાતેક વર્ષનું એક છોકરું અમારી આગળથી પસાર થતું હતું. મેં તેને બોલાવીને પૂછ્યું, ‘દીકરા, તું આ ગરમીની રાત્રિઓમાં બહાર સૂએ છે કે?’
‘હા.’
‘હવે કોઈ કૂતરું તારા ભેગું વારંવાર આવીને સૂઈ જતું હોય તો તું શું કરે?’
‘શું કરવાનું, વળી? પથારી ઉપાડી લઈને ઘરમાં પંખા નીચે સૂઈ જવાનું!’ છોકરાએ ત્વરિત જવાબ આપી દીધો.
મેં કહ્યું, ‘જા બેટા, તારા ભેરુડાઓ સાથે રમ હોં.’
એ છોકરાના ગયા પછી મેં સૂચક નજરે અને મલકતા મુખે કેન્ટ અંકલ સામે જોયું. તેમણે ઊભા થઈને મારી પીઠ ઉપર ધબ્બો મારતાં કહ્યું, ‘લુચ્ચા!’
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા
દો | હળવા મિજાજે -
રાહી
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
“નામ?’
“રાહી”
“કયા અપરાધની સજા મળી છે?”
“ચોરી કરી હતી, સરકાર.”
“શેની ચોરી કરી હતી?”
“અનાજની બોરીની.”
“કેટલું અનાજ હશે એમાં?”
“હશે પાંચ -છ શેર.”
“અને સજા કેટલી થઈ?”
“સાલ ભરની સરકાર.”
“ચોરી કેમ કરી? મજૂરી કરી હોત તો થોડું અનાજ તો મળી જાત ને?”
“અમને મજૂરી નથી મળતી. અમે રહ્યાં માંગણજાતના. કેવળ માંગીને ખાવાવાળાં.”
“અને ભીખ ન મળે તો?”
“તો ચોરી કરીએ. એ દિવસે ઘરમાં થોડું ખાવાનું પણ નહોતું. છોકરાઓ ભૂખથી રડી રહ્યાં હતાં. લાંબો સમય સુધી બજારમાં કામ માંગ્યું. ભાર વેઠવાની ટોપલી લઈને બેસી રહી. પણ કંઈ કામ ન મળ્યું. સામે કોઈનું છોકરું રડતું હતું, એ જોઈને મારા ભૂખ્યા છોકરાઓની યાદ આવી ગઈ. ત્યાં કોઈએ મૂકેલી અનાજની બોરી જોઈ, એ લઈને ભાગવા જતી’તીને પોલીસે પકડી.”
“તો પછી તેં કહ્યું કેમ નહીં કે છોકરાઓ ભૂખ્યાં હતાં એટલે ચોરી કરી. સંભવ છે મેજિસ્ટ્રેટ ઓછામાં ઓછી સજા કરી હોત.”અનિતાએ ઊંડો શ્વાસ લઈને પૂછ્યું.
“અમ ગરીબોની કોઈ સાંભળતું નથ સરકાર. છોકરાઓ પણ કચેરીમાં આવ્યાં હતાં. ઘણું કહ્યું પણ કોઈએ સાંભળ્યું જ નહીં.” રાહી બોલી.
“હવે કોની પાસે છે તારા છોકરાં? બાપ છે એમનો?” અનિતાએ પૂછ્યું.
“બાપ તો એમનો મરી ગયો છે. જેલમાં એને એવો માર્યો હતો કે ત્યાંની હોસ્પિટલમાં જ મરી ગયો” રાહીની આંખમાં આંસુ હતાં.
“તારા છોકરાંઓનો બાપ પણ જેલમાં હતો, કેમ?” અનિતાએ સવાલ કર્યો.
“એને તો કોઈ વાંક વગર પકડી લીધો હતો. બે-ચાર દોસ્તો સાથે તાડી પીવા ગયો હતો. મારા ઘરવાળાને એક વાર પોલીસ સાથે માથાકૂટ થઈ હતી. એનો બદલો લીધો. ૧૦૯નું ચલાન ભરીને એક વર્ષની સજા ઠોકી દીધી. ત્યાં જ મરી ગયો.”
“ઠીક છે, જા તારું કામ કર.” અનિતાએ નિશ્વાસ મૂકતાં કહ્યું.
અનિતા સત્યાગ્રહ કરીને જેલમાં આવી હતી. પહેલાં એને ‘બી’ ક્લાસમાં મૂકી હતી. એના ઘરવાળાએ લખા-પટ્ટી કરાવીને એને ‘એ’ ક્લાસમાં મૂકાવી દીધી હતી.
અનિતાના મનમાં એક પ્રશ્ન ઘોળાયા કરતો હતો. દેશ પાસે ગરીબ અને આવા નિરિચ્છ લોકોના કષ્ટનું નિવારણ કેમ નથી? આપણે સૌ એક પરમાત્માના સંતાનો છીએ. એક દેશના વતની છીએ. કમ સે કમ સૌને એક સરખું ખાવા-પીવાનો એક સમાન અધિકાર કેમ ન મળે? કેટલાય લોકો એટલા આરામથી રહે છે અને કેટલાયને પેટનો ખાડો પૂરવા ચોરી કરવી પડે? સરકારી વકીલના વાકચાતુર્યના લીધે આવા કેટલાય અભણ લોકો જેલ ભોગવતા હશે, અને એમના છોકરાંઓ નિસહાય રખડી પડતાં હશે? દેશભક્તિના નામે અમે જેલ ભોગવીએ છીએ, પણ જેલમાં આવીને કયો એવો મોટો ત્યાગ કરીએ છીએ? અમારી સાથે અન્ય કેદીઓની સરખામણીમાં થોડો સારો વર્તાવ થાય છે, છતાંય અમને સંતોષ નથી. ‘એ’ ક્લાસ અને ‘બી’ ક્લાસ માટે માથાકૂટ કરીએ છીએ. જેલમાં રહીને કોઈ કષ્ટ ભોગવવાની તૈયારી હોતી નથી. પાછાં ભારે અભિમાનથી કહીએ છીએ કે, આ અમારી ચોથી જેલયાત્રા છે. આ અમારી પાંચમી જેલયાત્રા છે. જેટલી વાર જેલમાં જઈએ છીએ એટલી વાર દેશભક્તિની વધુ સીડીઓ ચઢતાં જઈએ છીએ. અને જ્યારે છૂટીએ છીએ ત્યારે એના જોર પર કોંગ્રેસ રાજ્યમાં મિનિસ્ટર કે સ્થાનિક સંસ્થાઓના મેમ્બર બની જઈએ છીએ.
અનિતા વિચારતી રહી. કાલ સુધી જે લોકો ખાદી પહેરતા નહોતા. વાત વાતમાં કોંગ્રેસની મજાક ઊડાવતા હતા. પછી એ લોકો જ કોંગ્રેસભક્ત બનીને ખાદી પહેરવા માંડશે. વાસ્તવમાં આ દેશભક્તિ છે કે સત્તાભક્તિ?
અનિતાના વિચારોનો અંત નહોતો. એ ભાવુક બની ગઈ. ભીતરથી કોઈ વહેરી રહ્યું હોય એવું અનુભવી રહી. એને વારંવાર લાગતું હતું કે ખરેખર આ સાચી દેશભક્તિ કહેવાય કે દેશભક્તિના નામે મજાક?
આત્મગ્લાનિ અનુભવતી અનિતાને લાગ્યું કે સાચી દેશભક્તિ તો આ ગરીબોના કષ્ટ-નિવારણમાં છે. આ સૌ આપણી ભારતમાતાનાં જ સંતાનો છે. આ નાગાં-પૂગાં, ભૂખ્યાં ભાઈ-બહેનોની થોડીક સેવા જો કરી શકીએ તો સાચા અર્થમાં દેશસેવા થઈ કહેવાશે. આપણો વાસ્તવિક દેશ તો ગામડાંમાં છે. ખેડૂતોની દુર્દશાથી આપણે અલ્પ પરિચિત છીએ. આ લોકો પાસે ન તો ઘર છે, ન જ્ઞાન. અજ્ઞાનનો આટલો ભાર લઈને કેવી રીતે જીવતા હશે? જરા ઉંમર થાય એટલે મા દીકરીને, સાસુ વહુને ચોરીની શીખામણ આપવા જ માંડતી હશે ને? એમને એમ જ હશે કે ભીખ માંગવી કે ચોરી કરવી, એ જ એમનું જીવન હશે? આજે અહીં તો કાલે બીજે ચોરી કરશે. બચી ગયા તો ઠીક નહીંતર વરસ બે વરસ જેલમાં? એમના જીવનનું કોઈ લક્ષ્ય હશે ખરું?
ઇતિહાસ, ધર્મ-દર્શન, જ્ઞાન-વિજ્ઞાનનો અર્થ સમજતા હશે ખરા? સંસારની મૃગતુષ્ણામાં આપણે લક્ષ્ય ભૂલી જઈએ છીએ? એક સપાટીથી ઉપર પહોંચેલા કોઈક મહાન આત્માઓ સિવાય બાકીના લોકો આ ભવાટવીમાં ખોવાયેલા રહી જાય છે. સત્ય, કર્તવ્ય, માનવતા જેવા શબ્દો કે એના અર્થ જાણતા હશે ખરા?
રાહી જેવી ભોળી પણ ગુમરાહ થયેલી વ્યક્તિઓને કોણ સાચા માર્ગે લાવશે? ખરેખર તો સત્યાગ્રહીઓની સૌથી પહેલી ફરજ આ ન હોવી જોઈએ? દેશભક્તિનો પહેલી પ્રતિજ્ઞા આ ન હોવી જોઈએ? અનિતા આખો દિવસ આવા વિચારોમાં અટવાયેલી રહી.
રાતના ઊંઘમાં એણે સપનું જોયું કે જેલમાંથી છૂટીને એ માંગરોરી લોકોના ગામમાં પહોંચી ગઈ છે. ત્યાં એણે એક આશ્રમ ખોલ્યો છે. એ આશ્રમમાં નાના-મોટાં બાળકો ભણી રહ્યાં છે, સ્ત્રીઓ સૂતર કાંતી રહી છે. બીજી બાજુ પુરુષો કપડાં સીવી રહ્યા છે. રોજ સાંજ પડે એમને ધાર્મિક પુસ્તક વાંચી સંભળાવવામાં આવી રહ્યું છે. દેશમાં શું ચાલી રહ્યું છે, એ સરળ ભાષામાં સમજાવવામાં આવી રહ્યું છે. એ જ ભીખ માંગવાવાળા અને ચોરી કરવાવાળા લોકો આદર્શ ગ્રામવાસી બની ગયા છે. રહેવા માટે નાનાં-નાનાં ઘર બનાવી લીધા છે. રાહીના અનાથ છોકરાંઓને અનિતાએ પોતાની સાથે રાખી લીધાં છે.
અનિતા આ સુખ-સ્વપ્ન જોતી રહી. રાત્રે મોડી ઊંઘ આવવાના લીધે સવારે એ વહેલી ઊઠી શકી નહીં. અચાનક સ્ત્રી જેલરે આવીને એને ઊઠાડી. “તમે ઘેર જવા તૈયાર થઈ જાવ. તમારા પિતા બીમાર છે. તમને કોઈ શરત વગર છોડવામાં આવી રહ્યાં છે.”
અનિતા પોતાના સ્વપ્નને સચાઈમાં પરિવર્તિત કરવાની મધુર કલ્પના લઈને ઘેર જવા ચાલી નીકળી.
સુભદ્રા કુમારી ચૌહાણની વાર્તા ‘રાહી’ પર આધારિત ભાવાનુવાદ.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મિલીના ઘર તરફ
યામિની વ્યાસ
ડાયાલીસીસ બાદ શુભાંગી ગજબની સ્ફૂર્તિ અનુભવતી પરંતુ એ લાંબુ ચાલે એમ ન હતું. બંને કિડની કામ ના કરતી હોવાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ જ આખરી ઉપાય હતો.
સેવ લાઈફ ઈન્સ્ટિટ્યૂટના છઠ્ઠા માળે આજે શુભાંગી અને કિડની ડૉનર ડૉ. મિલીના ઇન્ટરવ્યૂ હતા. માંડ ત્રેવીસ ચોવીસની આ સોહામણી યુવતી શા માટે પોતાની કિડની ડૉનેટ કરી રહી હતી?એને પૈસાની કોઈ મોટી જરૂરિયાત હશે કે માનવીય લાગણી?’ શુભાંગીના મનમાં પ્રશ્ન થયો હતો. ડૉ. મિલી દોઢેક મહિના પહેલા જ એમ.બી.બી.એસ થઈને ઈન્ટર્નશીપ કરવા આ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈ હતી.વારંવાર ડાયાલીસીસ કરાવવા આવતી શુભાંગીના કેસથી એ વાકેફ હતી. શુભાંગીના પતિ સૌરભ અને એકના એક પુત્ર આનંદની કિડની મેચ થતી ન હતી માટે ડૉનરની શોધ ચાલી રહી હતી. આમ પણ મોટા બિઝનેસમેન સૌરભને પત્નીની જિંદગી બચાવવા ગમે તેટલા પૈસા વેરવા પડે તો વાંધો આવે એમ ન હતું. આ બાજુ ખૂબ જ સાધારણ ફેમિલીની ડૉ. મિલી પોતાની માની ઓપન હાર્ટ સર્જરી માટે જરૂરી રકમ મેળવી શકે એમ હતી. બ્લડગ્રુપથી માંડીને દરેક રિપોર્ટસ બંનેના પરફેક્ટ મેચ થતા હતા.શુભાંગી કિડની વેચાતી લઇ રહી હોવા છતાં એના દિલમાં ડૉ. મિલી વસી ગઈ હતી. શુભાંગીએ પ્રથમ પ્રેગ્નન્સી વખતે કરાવેલા ગર્ભ પરીક્ષણમાં ફિમેઇલ ચાઈલ્ડ હોવાથી એબોર્શન, કરાવ્યું હતું, એનો એને ભારોભાર રંજ થયો. ‘પોતાની દીકરી હોત તો કદાચ આવડી જ હોત!’
મા-બાપની લાડલી મિલીએ બિમાર માને કિડની ડૉનેશનની વાત કરી ન હતી, પરંતુ બાપુને સોગંદ આપીને સમજાવી લીધા હતા. એજ હોસ્પિટલના બાજુના યુનિટમાં વર્ષોથી સ્વીપર તરીકે નોકરી કરતા માથુરની એ એકની એક દીકરી હતી. હોસ્પિટલના કેમ્પસમાં જ નાચી કૂદી મોટી થઈ હતી. નાનપણથી જ ભણવામાં તેજ મિલી સફેદ એપ્રન પહેરેલા ચપળ ડૉક્ટર્સને દોડાદોડી કરતા જોતી ત્યારથી એને પણ દર્દીની સેવા કરવા ડૉક્ટર બનવાની ઈચ્છા હતી. માથુર ખૂબ મહેનત, ધગશ અને લાગણીથી બધાંનું જ કામ કરતો એટલે સૌને એના માટે માન હતું. હોસ્પિટલ સ્ટાફના ઘણા ડોકટર્સે મિલીને ભણવામાં મદદ કરી હતી. ઓછું ભણેલા માથુરને દીકરી પર અતૂટ શ્રદ્ધા હતી. દીકરી કહે એ સાચું અને સારું જ હોય એમ એ માનતો. માની હાર્ટ સર્જરી માટે હોસ્પિટલ તરફથી મદદ તો મળે છતાં એની ટ્રીટમેન્ટમાં ખૂબ ખર્ચ થાય જે કિડની ડોનેશન દ્વારા મેળવી શકાય એવી મિલીની ગણતરી હતી.
નિયત તારીખે કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન થઇ ગયું. હોસ્પિટલમાં શુભાંગી જેટલી જ કાળજી મિલીની લેવાતી હતી.એને જલદી રજા મળી ગઈ. ફક્ત થોડા દિવસ આરામ કરવાનો હતો. શુભાંગીના શરીરે પણ નવી કિડની સ્વીકારી લીધી હતી. તબિયત પણ સુધારાજનક હતી. એને રજા આપવાની હતી એ દિવસે માથુર શુભાંગીને મળવા ગયો. એને નક્કી કરેલી રકમ તો ઓપરેશનના દિવસે જ મળી ચૂકી હતી.કોણ જાણે કેમ માથુરની ભોળી આંખમાં શુભાંગીને મિલી જ તરતી દેખાતી. થોડી વાત કર્યા બાદ વિદાય લેતા માથુરે પોતાના હાથમાં પકડેલી થેલી નીચે મૂકી નમસ્તે કર્યું. શુભાંગી ચમકી,અંકોડીથી ગુંથેલી સફેદ થેલીમાં કેસુડાનાં બે ફૂલ ગુંથ્યા હતાં. આવી થેલી એણે પણ જાતે ડીઝાઈન કરી ગુંથી હતી, ત્યારે સૌરભે ટકોર પણ કરેલી, ‘તને તો કેસરી ભગવો રંગ બહુ ગમે!’ ‘હા બહુ ગમે. આમ તો કામણગારો છતાં ત્યાગ, બલિદાનનો રંગ. વળી કેસુડાને આનાથી વધુ કયો રંગ સોહે?..’ આ વિચારકડી ચાલતી હતી ત્યાં જ શુભાંગીનીની નજર સામેથી માથુરે થેલી ઉઠાવી લીધી, જાણે વિચારતો હોય,’કિડનીની માફક થેલી પણ નજરે ચડે તો વેચાતી ના લઈ લે! પૈસાદરનું શું કહેવું?’
શુભાંગી પળમાં ભૂતકાળમાં સરી પડી. સામાન્ય ઘરની છતાં સ્માર્ટ અને સુંદર શુભાંગી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગઈ ત્યારે પેનલમાં બેઠેલા મા અને દીકરા બન્નેની નજરમાં ક્લિક થઈ ગઈ હતી. દુર્ગાદેવી યુવાન વયે પતિને ગુમાવ્યા બાદ, ખૂબ સંઘર્ષ કરી,એકલે હાથે બિઝનેસ સંભાળતાં હતાં. એમણે શુભાંગીને પર્સનલ આસિસ્ટન્ટ તરીકે પસંદ કરી ને દીકરા સૌરભે પ્રિયતમા તરીકે. થોડા પરિચયમાં આવ્યા બાદ શુભાંગી પણ સૌરભને ચાહવા લાગી. કડક સ્વભાવની દુર્ગાદેવીનાં હૃદયમાં લાગણીનું મધ્યબિંદુ ફક્ત એકનો એક પુત્ર સૌરભ જ હતો.એની ખુશી માટે અમીર ગરીબના ભેદભાવ વિના, વગર આનાકાનીએ દુર્ગાદેવીએ સૌરભ- શુભાંગીના લગ્ન કરાવી આપ્યા. પરંતુ એ ઈચ્છતી,કહો કે, એની પ્રબળ ઇચ્છા હતી એકના એક પુત્રની દાદી બનવાની. વંશવેલો વધારવનાર વારસદાર પુત્ર જ હોય,એ પણ એક જ. કોઈની પણ ભાગીદારી વગર એકનો એક પૌત્ર ભવિષ્યમાં બિઝનેસ સંભાળે ને વધારે તો એની શાન જળવાય અને દુર્ગાદેવીનો સંઘર્ષ સાર્થક ગણાય.વળી દીકરીનાં વડીલોએ ક્યારેક નમીને ચાલવું પડે એ એમને હરગીઝ મંજુર નહોતું. એટલે એણે સ્પષ્ટ શબ્દોમાં શુભાંગી સૌરભને કહી દીધું હતું કે, ‘આ ઘરમાં છોકરી જન્મ લેશે નહીં’ અને એની ઈચ્છા વિરુદ્ધ સૌરભ કે શુભાંગીએ બોલવા કે વર્તવાનું હતું જ નહીં.
શુભાંગીને પ્રથમ પ્રેગનન્સી દરમિયાન ગર્ભ પરીક્ષણમાં ફિમેઇલ ચાઈલ્ડ હોવાથી દોઢ મહિનામાં જ અબોર્શન કરાવવું પડ્યું હતું.થોડા સમય બાદ ફરી પ્રેગનન્સી રહી ત્યારે દુર્ગાદેવીએ પ્રખર જ્યોતિષને બતાવી પુત્રપ્રાપ્તિની મોંઘી વિધિ કરાવી હતી અને અભિમાનથી કહ્યું હતું કે,’ વગર પરીક્ષણે કહી આપું કે, ‘દીકરો જ અવતરશે. આ જ્યોતિષનું કદી ખોટું પડતું જ નથી.’ દુર્ગાદેવી આ વખતે શુભાંગીની ખૂબ જ કાળજી રાખતાં અને દરરોજ શુભાંગીને મંદિરે લઈ જઈ જ્યોતિષે કહ્યા મુજબની પૂજા કરાવતાં. આ ક્રમ છેલ્લા મહિના સુધી જળવાયો. એવામાં જ એક દિવસ પૂજા કરીને સાસુ વહુ મંદિરનાં પગથિયાં ઊતરતાં હતાં, ને સાડીનો છેડો પગમાં ભેરવાતા શુભાંગીનો પગ લપસ્યો અને પછી.. દોડાદોડ.. હોસ્પિટલન ને ઇમરજન્સી..દોઢ દિવસ શુભાંગી કોમામાં રહી, બાળક ન બચાવી શકાયું પરંતુ શુભાંગી ઉગરી ગઈ. બે વર્ષ હતાશામાં ગયા બાદ ફરી આનંદના દિવસો આવ્યા. સાસુમાની ઈચ્છા પૂરી થઈ. દીકરો જન્મ્યો. આનંદ નામ રાખ્યું એ સાથે દુર્ગાદેવીની એકના એક પૌત્રની નેમ પણ જળવાઈ રહી.
ફરી નજર પેલી થેલી તરફ ગઈ ને યાદ આવ્યું કે,’ એ એણે પોતે ગુંથેલી થેલીમાં પૂજાનો સામાન લઈ રોજ મંદિરે જતી પરંતુ તે દિવસે પગ લપસતાં સીધા હોસ્પિટલ ભેગા થવું પડયું ત્યારે થેલી મંદિર પાસે જ પડી ગઈ હશે, તે આ થેલી તો ન હોય?’ એણે માથુરને પૂછ્યું, ‘વેચાતી આપીશ?’ માથુર એક ઝાટકે બોલી ઊઠ્યો, ‘ચામડી કહો તો ઉતારી આપું, આ થેલી ન આપું. આ મારી ભાગ્ય થેલી છે. એમાં ફક્ત ઘરેણાં જ મૂકીએ છીએ. મિલીના કહેવાથી આવેલા પૈસામાંથી સૌ પ્રથમ એની માના ગીરવી રાખેલા ઘરેણાં લેવા જાઉં છું.’શુભાંગીએ ફરી કહ્યું,’ તારી દીકરીએ તો કિડની આપી, તું એક થેલી ન આપી શકે?’ માથુરે થેલીને હૈયા સરસી ચાંપી આંખમાં ઝળઝળિયાં સાથે કહ્યું, ‘મારી પત્નીને યુવાનીમાં જ હૃદયની બીમારી હતી, એ બાળકને જન્મ આપી શકે એમ ન હતી, મને તો કચરાપેટી નજીક આ થેલીમાંથી જ મિલી મળી હતી, એટલે જ તો એનું નામ મિલી છે.’ છેલ્લું વાક્ય બોલાતું હતું ને ત્યાં જ દુર્ગા ને સૌરભની રુમમાં એન્ટ્રી થઈ. બંને ચોંકીને એકબીજા સામે તાકી રહ્યાં. સૌરભ અંદરથી હલબલી ઊઠ્યો, શુભાંગીના પગ પાસે ફસડાઈ પડ્યો. દુર્ગાદેવીના મોઢામાંથી આહ નીકળી ગઈ,’મિલી, મારી જ કૂળદીવડી!’ માથુર કાંઈ ના સમજ્યો પરંતુ શુભાંગીનાં મનમાં પારાવાર કળતર સાથે એક એક અંકોડો ખૂલતો ગયો. આંદોલિત થતો ગયો. ‘પૂજાની થેલી, મરેલું બાળક, કચરાપેટી.. ઓહ..ઓહ..!’ ને સાથે જ પોતાના શરીરમાં આરોપાયેલી જીવંત કિડનીના રૂપમાં મિલીના ગર્ભને અનુભવી રહી, વિચારવા લાગી,’દીકરી! તેં તો જન્મ આપનાર અને પાલક મા, બંને માને જીવતદાન આપ્યું.ધન્ય છે તને!’ ત્યાંજ દુર્ગાદેવીના ઉદગાર સંભળાયા,’ માફ કરી દે દીકરી! હું જ તારી ગુનેગાર છું ને એણે દોટ મૂકી, મિલીના ઘર તરફ.
