વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સરોવરના સગડ : ગુજરાતી સાહિત્યકારોનાં શબ્દચિત્રો

    પુસ્તક પરિચય

    પરેશ પ્રજાપતિ

    હર્ષદ ત્રિવેદી વિવિધ પ્રકારો અને વિષયો પર સતત હાથ અજમાવતા રહ્યા છે. 17 જૂલાઇ 1958ના રોજ ખેરાળી (જિ, સુરેન્દ્રનગર)માં જન્મેલા હર્ષદ ત્રિવેદીનું કાવ્ય ‘જો તમે સાંભરી આવો કોઇ વાર’ પહેલીવાર પ્રકાશિત થયું એ પછી તો તેમણે ‘એક ખાલી નાવ’ (1984) નામે આખો કવિતાસંગ્રહ આપ્યો. આ સંગ્રહને કવિ શ્રી જયંત પાઠક પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. તેમણે કેટલાંક કવિતાસંગ્રહો ઉપરાંત વાર્તાસંગ્રહ, નવલકથા, બાળવાર્તા, નિબંધલેખન તેમજ ઘણાં સંપાદનો કર્યા છે. ‘કુમાર’માં લોકગીત આસ્વાદ કરાવતી લેખમાળા ‘કંકુચોખા’ને 2017નો કુમારચંદ્રક પણ મળ્યો છે. તેઓ ઘણા સાહિત્યકારોના પ્રત્યક્ષ સંપર્કમાં આવ્યા હતા. એ દરેકની તેમના મનમાં કોઈ ને કોઈક રીતે અંકિત થયેલી છબી હતી. આ મનોછબીની આગવી શબ્દછબીમાં રજૂઆત એટલે હર્ષદ ત્રિવેદીનું પુસ્તક ‘સરોવરના સગડ’.

    ‘સરોવરના સગડ’માં ઉમાશંકર જોશી, કવિ રાજેન્દ્ર શાહ, ઉશનસ, ચંદ્રકાંત બક્ષી, દિલીપ રાણપુરા, વિનોદ ભટ્ટ સહિત કુલ ઓગણીસ સાહિત્યકારોનાં શબ્દચિત્રો છે. આ બધાં સાહિત્યકારોનું લેખકે નજીકથી દર્શન કર્યું છે. કેટલાંક સાથે અંગત ઘરોબો પણ કેળવાયો. આ દરમ્યાન પોતાના ચિત્તમાં ઉપસી આવેલી છબીને તેમણે શબ્દોમાં ઢાળી છે. શબ્દછબી ઉપસાવવા લેખકે આંતરિક ગુણોનાં, તો ક્યાંક બાહ્ય પહેરવેશનાં ઝીણવટભર્યાં વર્ણનનો સહારો લીધો છે. ક્યારેક વ્યક્તિની કથનશૈલી, તો ક્યાંક તેના વિશિષ્ટ ઉચ્ચારણોની વાત કરી છે. કોઇક સ્થળે વિશિષ્ટ કિસ્સા કે અનુભવો, તો ક્યારેક તેમના રહેઠાણનાં કે આસપાસના વર્ણનોની મદદથી લીધી છે.

    સ્વજનનું મૃત્યુ હંમેશાં પીડે છે. આ પુસ્તકમાં આલેખન પામેલા કેટલાક સાહિત્યકારોના બુઝાવાને આરે આવેલા યા બુઝાઇ ચૂકેલા જીવનદીપના સાક્ષી બનવાનું લેખકના નસીબમાં આવ્યું છે. આવાં લખાણોમાં લેખકે અનુભવેલી વ્યથા વાચકને પણ સ્પર્શે છે. એ જ રીતે મિત્રભાવે કરેલી મજાક કે મસ્તીના કિસ્સાઓ વાચકને હસાવી જાય છે. આ રીતે ક્રમશ: આગળ વધવાની સાથે જે તે વ્યક્તિની લાક્ષણિકતા પણ ઉજાગર થતી જાય છે. લેખકે નોંધ્યું છે કે તેમણે જે-તે સાહિત્યકારને પોતાની પંચેન્દ્રિયોથી જોયા અને અનુભવ્યા છે અને તેમનાં હૈયાએ જે પ્રતિભાવ આપ્યો તેને આધારે કોઇ રાગદ્વેષથી અંતર જાળવીને જ આ આલેખન કરાયાં છે.

    પુસ્તકમાં સમાવાયેલા ઓગણીસે સાહિત્યકારો વિશેનાં લેખન અંગત અનુભવો પર આધારિત હોવાથી શક્ય છે કે કોઇ વાચકને કોઇ સાહિત્યકારના સંપર્કમાં આવવાનું બન્યું હોય અને તેમને જુદો અનુભવ પણ થયો હોય! પરંતુ એવા કિસ્સામાં લેખકે છબી જે ‘ખૂણે’થી ઝીલી છે, એ ખૂણો જે-તે વાચકને નસીબ નહીં થયો હોય એમ કહી શકાય. આ બાબતે ખુદ રતિલાલ બોરીસાગરે ઉપોદ્‍ઘાતમાં સહર્ષ લખ્યું કે ઓગણીસમાંથી છ સિવાયનાં સહુને તે નજીકથી ઓળખે છે, છતાં લેખકના સગડનો આધાર લઇ જોતાં દરેકને જાણે પહેલી જ વાર મળ્યાનો અનુભવ થતો હતો!

    સાહિત્યકારોને નજીકથી જાણવા-માણવાનું નસીબ સૌને પ્રાપ્ત થતું નથી. તેથી ક્યારેક જે તે લેખમાં હર્ષદ ત્રિવેદીએ આપેલા કેટલાંક સંદર્ભો ન સમજાય તે શક્ય છે. પરંતુ, ઉપોદ્‍ઘાતમાં રતિલાલ બોરીસાગરે વિસ્તૃત વિવરણ આપ્યું છે. આ વિવરણ દ્વારા એક રીતે તેમણે વાચકોની આંગળી પકડીને દોરવાનું શુભ કાર્ય કર્યું છે અને એ કસર પૂરી કરી દીધી છે. ઉપોદ્‍ઘાતનું લખાણ પુસ્તક માણવામાં ખાસું મદદરૂપ નીવડે છે એ નોંધનીય છે. જે-તે સાહિત્યકાર વિશેનાં વિવિધ લેખોનાં મથાળાં ઘણાં અર્થપૂર્ણ છે.

    આ પુસ્તકમાં હર્ષદ ત્રિવેદીની લેખનશૈલીનો બરાબર અંદાજ મળે છે. તેમનાં લખાણમાં અજાણ્યા લાગે તેવાં પણ ઉંડાણવાળા શબ્દો વાંચવાની સાથે કેટલીક અર્થસભર શબ્દરમતો પણ વાંચવા મળી રહે છે. કેટલાંક ઉદાહરણો;

    • (મનુભાઇ પંચાળી) મનુદાદા જાણીને છેતરાતા અને છેતરનારાને જાણતા.
    • …જો કે ત્યારના નિરીક્ષકમાં અત્યારને મુકાબલે પ્રાવીણ્ય ઓછું અને પ્રામાણ્ય વધુ.
    • …પણ, ઇનામોની બાબતમાં કાવ્યબળ કરતાં ઘણી વખત કાળબળ મહત્વનું બની રહેતું હોય છે!
    • (રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત બાબતે) બંનેની તાસીર અને કવિતસવીર જુદી.
    • (અપરિણીત નિરંજન ભગતના સંદર્ભે) આગ અને રાગ બંનેને એ જાણતા હતા.

    લેખકે ઝીલેલી જે-તે સાહિત્યકારની છબી બાબતે સ્વયં કબૂલ્યું છે કે તે આખરી કે સંપૂર્ણ નથી જ. તેમણે સભાનતાથી લખ્યું છે કે ખાસ કરીને સર્જકોની હયાતીમાં લખવા જતાં સામા પક્ષે ન્યાયના અને પોતાના પક્ષે પ્રામાણિકતાના પ્રશ્નો ઊઠે. રતિલાલ બોરીસાગરે પણ તેને તંગ દોરડા પર સમતુલા જાળવીને ચાલવા જેવું અઘરું કાર્ય ગણાવ્યું છે. જો કે તેમણે આલેખનોમાં લેખક ઉત્તીર્ણ થયા હોવાનું સહર્ષ નોંધ્યું છે; એટલું જ નહીં, તેમની સરાહના કરતાં આ આલેખનોને રજનીકુમારનાં ‘ઝબકાર’ શ્રેણી, રઘુવીર ચૌધરીનાં ‘સહરાની ભવ્યતા’ કે વિનોદ ભટ્ટનાં ‘વિનોદની નજરે’ની પંગતમાં બેસે એવાં સક્ષમ ગણાવ્યા છે. આ પુસ્તક વાંચીને એટલું ચોક્કસ કહી શકાય કે લેખક હર્ષદ ત્રિવેદીએ વિવિધ સાહિત્યકારોને પોતાની આંખોથી જોવાની સાથે હૃદયથી અનુભવ્યા છે. આ લાગણીને લેખકે શબ્દોમાં સચોટતાથી વ્યક્ત કરી છે. એટલી સચોટ કે વાચક પોતાની સજ્જતાને અનુરૂપ એ ‘શબ્દછબી’ને ‘મનોછબી’માં પલટો કરાવી શકે! આ તદ્દન સંભવિત છે.

    *** * ***

    પુસ્તક અંગેની માહિતી:

    સરોવરના સગડ – લેખક: હર્ષદ ત્રિવેદી

    પૃષ્ઠસંખ્યા : 231
    કિંમત : રૂ. 220
    પ્રથમ આવૃત્તિ, 15 જુલાઇ 2018

    પ્રકાશક :  ડિવાઇન પબ્લિકેશન્સ, અમદાવાદ
    મુદ્રણ : યુનિક ઑફસેટ, અમદાવાદ

    વિજાણુ સંપર્ક: divinebooksworld@gmail.com

    વિજાણુ સરનામું :www.divinepublications.org


    પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com

  • બે વર્ષ આયુષ્ય વધ્યું!, ચાલો થોડું વધું જીવી લઈએ…

    નિસબત

    ચંદુ મહેરિયા

    જન્મ દિનની મુબારકબાદી પાઠવતા આપણે ‘ શતમ જીવ શરદ: ‘  કહીએ છીએ. માનવીનું આયુષ્ય સો વરસનું મનાય છે. પરંતુ સો વરસ  જીવનારા બહુ ઓછા લોકો હોય છે. દર દસ લાખે જપાનમાં ૪૮૦, ઈટલીમાં ૩૧૫, ચીનમાં ૩૬, અમેરિકામાં ૨૨ અને ભારતમાં ૨૧ લોકો જ સો વરસ જીવે છે. એટલે જન્મ દિને સો શરદ જીવવાની  શુભેચ્છા કે આશીર્વાદ આપવામાં આવે છે.દુનિયામાં સૌથી લાંબુ , ૮૫ વરસનું , આયુષ્ય જપાનના લોકોનું છે. જે તે દેશ, સમાજ કે સમૂહમાં વ્યક્તિના જન્મ અને મૃત્યુ દરના આધારે આયુષ્યની આંકણી થાય છે.સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમની આ પ્રકારની ગણનાના આધારે ૨૦૨૨ના મધ્યમાં જાહેર થયેલા ૨૦૧૫-૧૯ના આંકડા મુજબ હવે ભારતીયોનું આયુષ્ય ૬૯.૭ વરસનું થયું છે. ૨૦૦૯-૧૩માં તે ૬૭.૫ વરસ હતું.  એટલે એક દાયકામાં આપણી આવરદા બે વરસ વધી છે.

    આઝાદી સમયે ૧૯૫૦-૫૧માં ભારતના લોકોનું આયુષ્ય ૩૨.૧ વરસ હતું. સિત્તેર વરસમાં તે બમણા કરતાં વધુ વધીને ૬૯.૭ વરસ થયું તે મોટી સિધ્ધી છે.૧૯૫૦-૫૧માં ૩૨.૧, ૧૯૬૦-૬૧માં ૪૧.૩, ૧૯૭૦-૭૫માં ૪૯.૭, ૧૯૮૬-૯૦માં ૫૭.૭, ૧૯૯૫-૯૯માં ૬૧.૫ , ૨૦૦૯-૧૩માં ૬૭.૫ અને ૨૦૧૫-૧૯માં ૬૯.૭ વરસનું આયુષ્ય અંદાજવામાં આવ્યું છે.આ આંકડાઓ પરથી જોઈ શકાય છે કે  આઝાદી પછીના તુરતના દસકોનો લગભગ દસ વરસનો આયુ વધારો ક્રમશ: ઘટતો રહ્યો છે અને છેલ્લા દાયકામાં તો માત્ર બે જ વરસની વૃધ્ધિ થઈ છે !

    જ્યારે વૈશ્વિક આયુષ્ય ૭૨.૬ વરસનું છે ત્યારે ભારતીયોનું આયુષ્ય  ૬૯.૭ વરસ  છે. એશિયા ખંડના અન્ય દેશોમાં જપાનમાં ૮૫, ચીનમાં ૭૬.૯, શ્રીલંકામાં ૭૪, બાંગ્લાદેશમાં ૭૨.૧ અને નેપાળમાં ૭૦.૫ વરસનું આયુષ્ય છે. વૈશ્વિક આવરદા કરતાં ભારતીયોની આવરદા ૨.૯ વરસ ઓછી છે.એટલું જ નહીં એશિયા ખંડના ગરીબ ગણાતા શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળ કરતા પણ ઓછી છે. આ હકીકત વિશ્વગુરુ કે મહાસત્તા બનવા માંગતા ભારત માટે આઘાતજનક નથી શું ?. આયુષ્યની બાબતમાં વૈશ્વિક સરેરાશે પહોંચતા હજુ ભારતને વીસેક વરસ લાગશે તેવા અંદાજ પછી તો દેશની વૈશ્વિક સ્તરે ઉભરતી શક્તિની જે છાપ ઉભી થઈ છે તે આભાસી છે કે વાસ્તવિક તેવો સવાલ ઉઠે છે.

    ભારતીયોની જે રાષ્ટ્રીય આવરદા  આશરે સિત્તેર વરસની અંદાજવામાં આવી છે તેમાં રાજ્ય, શહેરી અને ગ્રામીણ વસ્તી તથા પુરુષ અને મહિલાની દ્રષ્ટિએ અંતર જોવા મળે છે. દેશમાં સૌથી વધુ આયુષ્ય ધરાવતા પાંચ રાજ્યોમાં દિલ્હી, કેરળ , જમ્મુ-કશ્મીર, હિમાચલપ્રદેશ અને પંજાબ છે. સૌથી ઓછું આયુષ્ય ધરાવતા રાજ્યો છતીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, અસમ અને રાજસ્થાન છે. સૌથી વધુ આયુષ્ય દિલ્હીના લોકોનું ૭૫.૯ (વૈશ્વિક સરેરાશથી પણ વધુ) વરસ છે.  જ્યારે સૌથી ઓછું આયુષ્ય છત્તીસગઢનું ૬૫.૩ વરસ છે. બંને વચ્ચે દસ વરસ કરતાં વધુનો તફાવત છે.

    સામાન્ય રીતે ભારતમાં પુરુષોની તુલનામાં મહિલાઓનું આયુષ્ય વધુ જોવા મળે છે. ભારતના લોકોનું જે ૬૯.૭ વરસનું આયુષ્ય છે તેમાં પુરુષોનું ૬૮.૪ અને મહિલાઓનું ૭૧.૧ વરસ છે. દિલ્હીમાં મહિલાનું આયુષ્ય  ૭૭.૫ અને પુરુષોનું ૭૪.૩ છે. એટલે દેશમાં અને દેશના સૌથી વધુ આવરદા ધરાવતા રાજ્ય દિલ્હીમાં મહિલાઓ વધુ જીવે છે. પરંતુ સૌથી ઓછી આયુ ધરાવતા છતીસગઢમાં મહિલાઓ (૬૩.૭ વરસ) કરતાં પુરુષો ( ૬૫.૩ વરસ) વધુ જીવે છે. બિહાર અને ઝારખંડની મહિલાઓ પણ ઓછું આયુષ્ય ધરાવે છે. ગુજરાતના કુલ ૭૦.૨ વરસના આયુષ્યમાં મહિલાઓનું ૭૨.૮ અને પુરુષોનું ૬૭.૯ વરસનું છે.

    શહેરી ભારતના ૭૩ વરસના આયુષ્યની સરખામણીએ ગ્રામીણ ભારતનું આયુષ્ય ઓછું એટલે કે ૬૮.૩ વરસ છે. દુનિયા અને ભારતનું સૌથી વધુ  વાયુ પ્રદૂષિત શહેર રાજધાની દિલ્હી છે.પરંતુ દિલ્હી રાજ્યના લોકોનું આયુષ્ય દેશમાં સૌથી વધુ છે !. એ જ રીતે શુધ્ધ  હવા-પાણી મેળવતા ગામડાના લોકો કરતાં અશુધ્ધ હવા-પાણીમાં જીવતા શહેરોના લોકો વધુ જીવતા હોય તે સહેલાઈથી ના ઉકેલી શકાય તેવો કોયડો છે.

    ભારતીયોના અલ્પાયુ-દીર્ઘાયુનો આધાર આર્થિક-સામાજિક સ્થિતિ, શિશુ મૃત્યુ દર, કુપોષણ, પ્રસૂતા માતા મૃત્યુ, આરોગ્યની સ્થિતિ અને તબીબી સવલતો સુધીની પહોંચ, પર્યાવરણ, વધુ વસ્તીનું દબાણ, સરકારી નીતિઓ ખાસ કરીને રાજ્યનું આરોગ્ય ખર્ચ  તથા જીવનની ગુણવતાનો દર કે જીવન જીવવાની સ્થિતિ પર રહેલો છે. ભારતીયોના આયુષ્યમાં નિ:શંક અસામાન્ય વધારો થયો છે પરંતુ તે પર્યાપ્ત નથી.

    જન્મ સમયની અને એક થી પાંચ વરસની ઉમર પછીની આવરદામાં પણ તફાવત જોવા મળે છે. જન્મ સમયની ૬૯.૭ વરસની આવરદા જો બાળકનું ૧ થી ૫ વરસમાં મરણ ના થાય તો ૭૧.૩ વરસની થઈ શકે છે. તે પ્રમાણે ૬૦ વરસ પાર કરી ગયેલા લોકો વધુ ૧૮.૩ અને ૭૦ વરસ પછી વધુ ૧૧.૮ વરસ જીવી શકે છે.

    વલ્ડ પોપ્યુલેશન રિવ્યુ મુજબ ૧૯૫ દેશોના શિશુ મૃત્યુ દરમાં ભારત ૧૩૮મા ક્રમે છે. ૧૯૭૦માં ભારતમાં દર એક હજારે ૧૩૨ બાળકોના મોત થતા હતા.૨૦૨૦માં તે ઘટીને ૩૨ અને  ૨૦૨૨માં ૨૭.૮ થયા છે. આવરદાની વૃધ્ધિમાં શિશુ મૃત્યુ દર બાધક છે. જેટલા બાળ મરણ વધારે એટલી આવરદા ટૂંકી. ૧૯૯૦માં દર દસ હજારે ૫૫૬ પ્રસૂતાઓના મોત થતા હતા. ૨૦૧૮માં તે ઘટીને ૧૧૩ થયાં છે. પરંતુ તે લાંબી આવરદા માટે પર્યાપ્ત નથી. પુરુષો કરતાં મહિલાઓને તબીબી સવલતો ઓછી મળે છે, ઘરનું વૈતરું તેના શિરે જ હોય છે અને ખાવાનું પણ પૂરતું મળતું નથી. છતાં તેની જીવટ તેને લાંબુ જીવાડે છે.

    વધુ આયુષ્ય ધરાવતા દેશો અને રાજ્યોમાં આરોગ્ય પાછળ થતો ખર્ચ પણ કારણભૂત છે. દિલ્હીના મહોલ્લા ક્લિનિક, કેરળમાં શિક્ષણ અને આરોગ્ય પ્રત્યેની લોક જાગ્રતિ તથા જીવનશૈલીને કારણે આ રાજ્યોના લોકો લાંબુ જીવે છે. અમેરિકા જીડીપીના ૧૭.૯ ટકા, ફ્રાન્સ ૧૧.૬ ટકા, જપાન ૯.૩ ટકા, ચીન ૫ ટકા અને ભારત ૩.૯ ટકા આરોગ્ય પાછળ ખર્ચે છે. જપાનના લોકોના દીર્ધાયુનું કારણ કદાચ જેનેટિક કે નૃવંશીય છે. પરંતુ દુનિયાના વિકસિત દેશોમાં અમેરિકા જ એક માત્ર એવો દેશ છે જેના નાગરિકોનું આયુષ્ય લાંબુ નથી. મરણની જેમ જીવનની રેખા પણ કદાચ રહસ્યમય છે. એટલે ઝાઝુ પિષ્ટપેષણ કર્યા વિના  જીવનરેખા બે વરસ લંબાઈ છે તો ચાલો મોજથી જીવી લઈએ.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • એક પથ્થર જેમ જગત રસ્તે મેં લાતો જ સહી છે… નહીંતર હું…

    વાત મારી, તમારી અને આપણી

    ડૉ. મૃગેશ વૈષ્ણવ
    એમ.ડી.(મનોચિકિત્સક)

     તમારી સાથે શું થયું એ મહત્વનું નથી પણ હવે પછી તમે શું કરવા માંગો છો અને શું કરી શકો તેમ છો તે મહત્વનું છે

     

    ભૂતકાળમાં તમારી સાથે થયેલ અન્યાયનો તમે ક્યારેક ઉલ્લેખ કરો એ વ્યાજબી છે પરંતુ એના ઓઠા હેઠળ ભૂતકાળને મારી, મચડી વિકૃત બનાવી તમે તમારી વર્તમાન પરિસ્થિતિ માટે બીજાઓ પર દોષનો ટોપલો નાંખી જાતને છેતરતા રહો એ વ્યાજબી નથી. કારણ આવું કરી તમે તમારી નબળાઈ, નિષ્ક્રિયતા અને બેજવાબદાર વલણ પર તમે ઢાંકપિછોડો કરો છો જેથી  તમે તમારી ”સેલ્ફ ઈમેજ” ‘આત્મછબિ’ને નબળી કે નિર્માલ્ય બનાવતા રહો છો. ભૂતકાળના બનાવોથી છેડો ફાડવો મુશ્કેલ છે.

    ભૂતકાળની ઘટનાઓના ઉઝરડા પ્રત્યેક વ્યક્તિના મનમાં રહી જાય છે. ભૂતકાળના જખ્મો તાજા થઈ જાય અને તમે તેનો અફસોસ સાથે ઉલ્લેખ કર્યા વિના ન રહી શકો તો નીચેની બાબતો ચોક્કસ ધ્યાનમાં રાખો.

    ૧. માત્ર બહાનાબાજી તરીકે ભૂતકાળના અન્યાયનો ઉલ્લેખ ન કરશો. તમે વર્તમાનમાં જે છો જેવા છો એ માત્ર ભૂતકાળના બનાવોને કારણે જ છો એવું પણ ઘુંટયા ના કરતા. હું તો એક પ્રભુની મૂર્તિ બનવા લાયક અવતાર હતો પણ મને લોકોએ એક પથ્થર જેમ લાતો જ માર્યા કરી છે, એવું ગાણુ ગાઈ તમારા આત્મસન્માનને સાવ તળીયે ન જવા દેશો.

    ૨. તમે તમારા મનનો ઉભરો ઠાલવવા ભૂતકાળની વાતો કરતા હો ત્યારે તેમાં નકારાત્મક લાગણી ઘૂંટયા ન કરશો. ”હું બિચ્ચારો… બાપડો… સહાય… આવા અન્યાયને લાચારીથી સહન કર્યા સિવાય બીજું કરી પણ શું શકું?…” એવું વિચારી તમારી જાતને દિન-હીન અને લાચાર પુરવાર કર્યા કરશો તો તમારી આત્મછબિ હંમેશાં નબળી જ રહેશે.

    ૩. તમારા ભૂતકાળના બનાવોનું વર્ણન કરતા હોવ ત્યારે જેમણે મને અન્યાય કર્યો છે. તેમના પ્રત્યે ધિક્કાર કે નફરત ઓકતા રહેશો નહીં. કારણ એમ કરવાથી તમારા ભૂતકાળને તમે જીવંત રાખશો અને મનની કડવાશને સતત પોષ્યા કરશો. યાદ રાખો જ્યાં સુધી તમે મનમાં કડવાશ અને ધૃણા રાખશો ત્યાં સુધી તેઓ તમારા મન પર નકારાત્મક પ્રભાવ પાડશે, અને તમારી ‘સેલ્ફ ઈમેજ’ને નિસ્તેજ અને નિર્માલ્ય બનાવતા રહેશે.

    ૪. તમારી સાથે ભૂતકાળમાં શું શું બની ગયું તે મહત્ત્વનું નથી પણ હવે પછી તમે શું કરવા માંગો છો અને શું કરી શકો તેમ છો તેનું મહત્ત્વ છે.

    જાતની જવાબદારી ટાળવા લોકો કેવી બહાનાબાજી ભર્યા વિધાનો કરે છે અને તમારી તંદુરસ્ત ”સેલ્ફ ઈમેજ” બનાવવા તમે આવાં વિધાનોનો કેવો જડબાતોડ જવાબ આપી શકો છો તેનાં કેટલાંક દ્રષ્ટાંતો આપું છું.

    વિધાન : કોલેજમાં ખરાબ દોસ્તોએ મને દારૃના રવાડે ચડાવ્યો હતો. હાલમાં હું મારો બિઝનેસ જમાવવા માટે ઓફીસરો, વેપારીઓ અને વગદાર લોકો સાથે મારે શરાબની પાર્ટી તો યોજવી જ પડે ને? હું શું કરું? શરાબ પીવો એ મારી ઈચ્છા નહીં લાચારી છે.

    જડબાતોડ જવાબ : ખોટી વાત. આજ સુધી કોઈ પણ વ્યક્તિએ મારી મરજી વિરૃધ્ધ પરાણે મારા મોઢામાં દારૃ રેડયો નથી. મને દારૃ પીવો ગમે છે એટલે હું પીવું છું. મારી આ આદત માટે હું જ જવાબદાર છું અને હું જ તેને બદલી શકું તેમ છું.

    વિધાન : મારે પણ સવારે વહેલા ઉઠી વાંચવા બેસવું જ છે અને દિવસમાં દસ-બાર કલાક એકાગ્રતાથી વાંચવું જ છે, પણ હું શું કરી શકું? …અત્યારની તીવ્ર ઠંડીમાં ઉઠાતું નથી. દિવસ દરમ્યાન ઘરમાં ઘણાં ગેસ્ટ આવે છે. પાડોશીઓ આખો દિવસ ”તારક મહેતા કે ઉલ્ટે ચશ્મે” સિરીયલ ચલાવે છે પછી હું એકાગ્રતા કેવી રીતે લાવું?

    જડબાતોડ જવાબ : હકીકતમાં મને ભણવા બેસવામાં રસ નથી. મારી જ્વલંત કારકીર્દી બનાવવાની કોઈ મહત્વકાંક્ષા જ નથી. બાજુવાળા નવરા છે એટલે સિરીયલ જુએ છે. એ લોકો મને જોવા આવવાનો આગ્રહ કરતા નથી. ઠંડીમાં મારે ઉઠવું હોય તો હું ઉઠીને વાંચી શકું છું પણ હું આળસુ થઈ ગયો છું. વાંચવાનો નિર્ણય મારે જ કરવો પડશે અને એ માટે મારે કઠોર પરિશ્રમ કરતા શીખવું પડશે.

    વિધાન : મને પ્રમોશન ક્યાંથી મળે? ઉપરી સાહેબોને મસ્કા મારતા મને ક્યાં આવડે છે?

    જડબાતોડ જવાબ : હું ક્યારેય ઓફીસે સમયસર પહોંચ્યો ખરો? કોઈપણ બહાનું બતાવી હું વહેલો છટકી નથી જતો? મને સોંપેલા કામ હું પાછા ઠેલ્યા કરું છું. પછી મારા પ્રમોશનની ભલામણ સાહેબ કેવી રીતે કરે? મને પ્રમોશન નથી મળતું તેમાં મારો જ વાંક છે.

    યાદ રહે તમારી વર્મતાન પરિસ્થિતિ માટે ભૂતકાળનો આશરો લઈ અન્ય પર દોષારોપણ કે બહાનાબાજી કરવાથી તમારો વર્તમાન સુધરવાનો નથી કે તમારી સેલ્ફ ઈમેજ મજબૂત બનવાની નથી. અત્યાર સુધી ખોટી દલીલો અને બહાનાબાજીથી તમે તમારો વિકાસ અટકાવ્યો હોય તો હજી પણ સમય છે. તમે તમારી જાત સાથે જડબાતોડ દલીલો કરી તમારો અભિગમ બદલી શકો છો. આ અંગે હું સુપ્રસિધ્ધ પાર્લામેન્ટરીયન અટલ બિહારી બાજપાઈનો દાખલો આપું છું. અટલજી વિરોધપક્ષમાં બેસતા હતા ત્યારે તેમના ધારદાર વક્તવ્યો માટે જાણીતા હતા. એક દિવસ લોકસભામાં તેમને સરકારની નબળી આંતરિક સુરક્ષા અને આર્થિક નીતિ પર બોલવાનું હતું. વ્યસ્ત અટલજીને હોમવર્ક કરવાનો સમય ન હતો. આથી તેમના આસીસ્ટન્ટોએ તેમને આંકડા તથા દલીલ લખી આપ્યા. અટલજીએ તેમની આગવી છટામાં વક્તવ્ય શરૃ કર્યું. પરંતુ એનાથી તો સામેના પક્ષના લોકો પાટલી થબથબાવા માંડયા. જ્યારે અટલજીની પાર્ટીના મોઢાં છોભીલાં થયાં અટલજીને અણસાર આવી ગયો કે કંઈક બફાય છે. તેમણે પોતાના વક્તવ્યમાં થોડો પોઝ આપ્યો અને સતર્કતાથી બાજી સંભાળી લેતાં કહ્યું. આ બધી સામા પક્ષની બહાનાબાજી છે. તેનો જડબાતોડ જવાબ આ રહ્યો. આમ કરીને સામા પક્ષની દલીલો કેટલી વાહિયાત છે અને ખરેખર સાચું શું છે એવું કહી તેમણે સામેના પક્ષના છક્કા છોડી નાંખ્યાં.

    અટલજી જેવી જ સતર્કતા તમે પણ તમારા જીવનમાં રોજબરોજ અજમાવી શકો છો. અત્યાર સુધી તમારી નિષ્ફળતા કે અણઆવડત પર ઢાંક પિછોડો કરવા તમે આતશબાજી કરીને જાતને છેતરતા રહ્યા છો. પરંતુ આનાથી ફાયદો થવાને બદલે તમને નુકસાન થયું છે. એટલે હવે પછી તમારી બહાનાબાજીને સતર્કતાથી જડબાતોડ જવાબ આપી તમારી ‘સેલ્ફ ઈમેજ’ તમારે સુધારી પ્રગતિ કરવાની છે. પરંતુ જેટલી આસાની અને સતર્કતાથી અટલજીએ બાજી પલટાવી તેટલું તમારા કિસ્સામાં કરવું સહેલું ન પણ બને. કારણ તમને અત્યારની પરિસ્થિતિ માફક આવી ગઈ હોય. હવે કોઈ પ્રકારની મહેનત કરવા કરતાં આ જે છે એજ શું ખોટું છે? નાહકનું ટેન્શન વધારવું અને કાયાને કષ્ટ આપવું? બીજું તમને અત્યારની પરાવલંબી પરિસ્થિતિ અનુકૂળ આવી ગઈ હોય તો તમારે શું કરવું કે શું ન કરવું એ બીજું કોઈ નક્કી કરતું હોય તમે નિર્ણય લો એ ખોટો પડે તો તેની જવાબદારી લેવી પડે. એના કરતાં કંઈક ખોટું થાય તો બીજા પર દોષનો ટોપલો નાંખી ચિંતામુક્ત રહી જાતને બિચ્ચારી… લાચાર… નિર્દોષ… અન્યાય સહન કરનાર પુરવાર કરતા રહો અને નફીકરાઈથી સરળ જિંદગી જીવતા રહો.

    આ વલણ બાલ્યાવસ્થાનું છે પરંતુ નબળી ‘સેલ્ફ ઇમેજ’વાળી વ્યક્તિ પુખ્ત થયા પછી પણ બાળક જેવા નાના રહી પોતાના જીવનની કોઈ જ જવાબદારી લઈ શકતા નથી કે પછી તેમ કરવાનું ટાળે છે. કારણ આવા લોકો એમ વિચારતા હોય છે કે પોતે નિર્ણય લે અને ખોટા પડે તો શું? એમ વિચારી તેઓ હંમેશાં છટકબારી શોધતા રહે છે અને પલાયનવાદી થઈ જાય છે.


    ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.,નાં વિજાણુ સંપર્ક સૂત્રો:

    E_Mail: mrugeshvaishnav@gmail.com
    Website: www.drmrugeshvaishnav.com

  • ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪૭

    ચિરાગ પટેલ

    उ. १७.१.९ (१६२५) किमित्ते विष्णो परिचक्षि नाम प्र यद्ववक्षे शिपिविष्टो अस्मि । मा वर्पो अस्मदप गूह एतद्यदन्यरुपः समिथे बभूथ ॥ (वसिष्ठ मैत्रावरुणि)

    કિરણોયુક્ત હું છું એ પ્રમાણે સર્વવ્યાપી ભાવવાળું આપનું સ્વરૂપ નિઃસંદેહ પ્રખ્યાત છે. એવા સ્વરૂપને અમારાથી છુપાવી ના દો, કારણ કે, સંગ્રામમાં અન્ય રૂપ ધારણ કરવા છતાંય તમે અમારા સંરક્ષક બની રહો છો.

     

    उ.१७.१.१० (१६२६) प्र तत्ते अद्य शिपिविष्ट हव्यमर्यः शँसामि वयुनानि विद्वान् । तं त्वा गृणामि तवसमतव्यान्क्षयन्त मस्य रजसः पराके ॥ (वसिष्ठ मैत्रावरुणि)

    હે કિરણોવાળા વિષ્ણુ! આપના પૂજ્ય નામવાળા સ્વરૂપની શ્રેષ્ઠ સત્કર્મ પરાયણ અમે પ્રશંસા કરીએ છીએ. અત્યંત બળશાળી રજોલોકથી દૂર રહેનારા અમે આપના નાના ભાઈના રૂપમાં આપની સ્તુતિ કરીએ છીએ.

     

    उ.१७.१.११ (१६२७) वषट् ते विष्णवास आ कृणोमि तन्मे जुषस्व शिपिविष्ट हव्यम् । वर्धन्तु त्वा सुष्टुतयो गिरो मे यूयं पात स्वस्तिभिः सदा नः ॥ (वसिष्ठ मैत्रावरुणि)

    હે વિષ્ણુ! આપની પાસે અમે વષટપૂર્વક આહુતિ અર્પણ કરીએ છીએ. હે પ્રકાશથી વ્યાપ્ત! આપ અમારી આહુતિને ગ્રહણ કરો. શ્રેષ્ઠ સ્તુતિઓ યુક્ત અમારી વાણી આપની ગરિમા વધારે. આપ સર્વે કલ્યાણકારી શક્તિઓ સાથે સદૈવ અમારા સંરક્ષક બનો!

    ઉપરોક્ત ત્રણ સામમાં ઋષિ વસિષ્ઠ મૈત્રાવરુણિ વિષ્ણુ સંબોધન સર્વવ્યાપી સૂર્ય માટે પ્રયોજે છે. સૂર્યના કિરણો સમગ્ર પૃથ્વી પર વ્યાપ્ત છે અને કિરણોયુક્ત એટલે કે પ્રકાશિત એવું સૂર્યનું આ એક સ્વરૂપ છે. જ્યારે રાત્રીનો અંધકાર હોય ત્યારે ચંદ્રમા અને નક્ષત્રો દ્વારા સૂર્ય અન્ય સ્વરૂપે ઉપસ્થિત હોય છે. આ સ્વરૂપમાં પણ સૂર્ય પોતાની રક્ષા કરે એમ ઋષિ ઈચ્છે છે.

    વિષ્ણુ શબ્દનો અર્થ સર્વત્ર વ્યાપ્ત કે સર્વને ધારણ કરનાર છે. ઋષિને સૂર્યનું આ નામ વધુ પ્રિય છે; અને પોતાને વિષ્ણુના રજોલોકથી દૂર એટલે કે પૃથ્વી પર સૂર્યના નાના ભાઈ સમાન યજ્ઞના અગ્નિને વિષ્ણુ માની પૂજતા હોવાનું કહે છે. યજ્ઞમાં સ્વાહા શબ્દથી આહુતિ અપાય છે. આ સામમાં ઋષિ વષટ શબ્દથી આહુતિ પોતે આપતાં હોવાનું જણાવે છે.

     

    उ.१७.३.२ (१६४०) व्यरुन्तरिक्षमतिरन्मदे सोमस्य रोचना । इन्द्रो यदभिनद्वलम् ॥ (गोषूक्ति अश्वसूक्ति काण्वायन)

    સોમપાનથી પ્રસન્ન ઇન્દ્ર પ્રકાશવાન અંતરિક્ષને વિશેષ પ્રકાશ સંપન્ન કરે છે તથા વાદળોને છિન્ન ભિન્ન કરે છે.

     

    उ.१७.३.३ (१६४१) उद् गा आजदङ्गिरोभ्य आविष्कृण्वन्गुहा सतीः । अर्वाञ्चं नुनुदे वलम् ॥ (गोषूक्ति अश्वसूक्ति काण्वायन)

    ઈન્દ્રે ગુફામાં રહેલી ગાયોને પ્રગટ કરીને અંગિરાઓ સુધી પહોંચાડી. એને રોકી રાખનાર નીચું મોં કરીને પલાયન થઈ ગયા.

     

    उ.१७.४.५ (१६५२) वि चिद् वृत्रस्य दोधतः शिरो बिभेद वृष्णिना । वज्रेण शतपर्वणा ॥ (वत्स काण्व)

    સંસારને ભયભીત કરનાર વૃત્રના માથાને શક્તિ સંપન્ન ઇન્દ્રએ પોતાના તીક્ષ્ણ પ્રહારવાળા વજ્રથી કાપી નાખ્યું.

    ઉપરોક્ત ત્રણ સામમાં ઋષિઓ ઇન્દ્ર એટલે કે સૂર્યને લગતી પ્રાચીન કથાનો નિર્દેશ કરે છે. અહિ  ઇન્દ્ર એટલે સૂર્ય, ગાયો એટલે પ્રકાશ કિરણો, ગુફામાં રહેલા એટલે કે અપ્રગટ, અંગિરાઓ એટલે શરીરધારીઓ, રોકી નાખનાર અથવા વૃત્ર એટલે બળ કે પ્રકૃતિ, વજ્ર એટલે આકાશી વીજળી એમ સ્થૂળ અર્થ લઈએ. ૧૨,૯૦૦ વર્ષ પૂર્વેના લગભગ બે હજાર વર્ષના છેલ્લા હિમયુગના અંત સમયે, પૃથ્વી પર વ્યાપેલા ગાઢ અંધકારરૂપી ઘનઘોર વાદળોમાં વીજળીઓથી વર્ષા ચક્રનો પુનઃ પ્રારંભ થયો હતો અને સૂર્ય પૂર્ણ સ્વરૂપે પ્રકાશિત થયો હતો. આ ભૌગોલિક/ખગોળીય ઘટના અંગે સામવેદ કાળના ઋષિઓને જાણકારી હતી એમ ચોક્કસ કહી શકાય.

    આદ્યાત્મિક અર્થ લઈએ તો, ઇન્દ્ર એટલે મન, ગુફામાં રહેલ ગાયો એટલે આત્માની પ્રેરણા, અંગિરા એટલે શરીર, વૃત્ર એટલે મનની અડચણરૂપ વૃત્તિઓ, વજ્ર એટલે ચૈતન્ય શક્તિ. એ અર્થમાં આત્મા મનને કેવી રીતે પ્રેરણા આપે છે એનું વર્ણન ઋષિ અહી કરે છે.

  • આંતરચક્ષુ એકાક્ષરે

    ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

    દિનેશ.લ. માંકડ

    દરેક ઉપનિષદને તેની વિશેષ શિક્ષણ વિભાવનાઓ છે.જ્યાં અને જેવી રીતે જિજ્ઞાસુઓ પહોંચે ત્યાં પોતાના જ્ઞાનનો નિર્વ્યાજ, અને નિસ્પૃહી ભાવે વહેંચણી વિવિધ રીતે ,વિવિધ પદ્ધતિથી કરવી એ ઉપનિષદોની લાક્ષણિકતા રહેલી છે. વિશાળ એવું બૃહદારણ્યક ઉપનિષદ પણ આવાં અનેક ગુરુ-શિષ્ય બોધ લઈને આવે છે.શુક્લ યજુર્વેદની કણ્વ શાખાના શતપથ-વાજસેનીય બ્રાહ્મણ અંતર્ગત આ ઉપનિષદ છે.એમાં છ અધ્યાય છે અને દરેકમાં અનેક  બ્રાહ્મણ છે.

                 શિષ્યની તર્કશક્તિ અને મૌલિકતા ખુબ તીવ્રતાપૂર્વક અને વિવિધ પ્રયુક્તિઓ દ્વારા વિકસે એ શિક્ષણની વિશેષ વિભાવના છે.એમાંય ભારતીય સંસ્કૃતિને તો વિશ્વની શ્રેષ્ઠ દેવભાષા સંસ્કૃતનું અણમોલ વરદાન છે. સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ તો અનન્ય છે. બૃહદારણ્યક ઉપનિષદના પાંચમા અધ્યાયના પ્રથમ બ્રાહ્મણમાં આપણી આ મહામૂલી ભાષાના એકાક્ષરી સાંકેતિક શબ્દો દ્વારા ગુરુ-શિષ્ય કેટલું અગાધ જ્ઞાન આપી શકે તે દર્શાવાયું છે.

    ઉપનિષદના પાંચમા અધ્યાયના પ્રથમ બ્રાહ્નણનો ॐ पूर्णमदः पूर्णमिदं …..મંત્રથી પ્રારંભ કર્યો છે.  કૌરવ્યાયણી પુત્રના મત અનુસાર ‘ ખં ‘ ( અનંત આકાશ ) જ બ્રહ્મ છે.તેની અંદર વાયુ વિચરણ કરે છે. ॐ३ खं ब्रह्म खं पुराणं वायुरं खमिति ह स्माऽऽह कौरव्यायणीपुत्रो। वेदोऽयम्ं ब्राह्मणा विदुर्वेदैनेनयद्वेदितव्यम् ॥ આમ અહીં પ્રારંભથી જ એકાક્ષરી શબ્દનું મહત્ત્વ બતાવાયું છે.

               જ્યાં સુધી શિષ્ય સ્વતંત્ર વિચારતો ન થાય ત્યાં સુધી તે શિષ્યના મનમાં એક વિચાર બીજ રોપાય અને એ વિચારતો થાય. અને એટલે જ ગુરુ પણ કોઈ સંકેત કે વિચાર મૂકી શિષ્ય પર છોડી દે.શિષ્ય તેના પર પૂરતી વિચાર શક્તિ દોડાવે તારણ કાઢે ને પછી  ઉત્તર આપે.

    બૃહદારણ્યક ઉપનિષદની એક કથા આવો જ એક સંદેશ લઈને આવે છે. પ્રજાપતિના ત્રણેય પુત્રો દેવ,માનવ અને અસુર પૂર્ણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યા પછી પિતા-ગુરુ પાસે આવ્યા.અમને ઉપદેશ આપો સહુ પ્રથમ દેવતાઓનો વારો. તેમની વિચારશક્તિ અને વિચાર દિશા જાણવા માટે પ્રજાપતિએ તેમને કહ્યું,’ દ’ એટલે શું ? ‘ ते॒भ्यो हैत॒दक्ष॒रमुवाचः द॒ इ॒ति; व्य॒ज्ञासिष्टा३ इ॒ति । તેનો માર્મિક વિચાર કરવા માટે સંકેત કરીને  તેમની પર છોડી દીધું.. થોડીવાર તેમને સૂચક રીતે પૂછી લીધું કે તમે સમજી ગયા છો ને ?  દેવોએ સંમતિ સૂચક હા પાડી व्य॒ज्ञासिष्मे॒ति होचुः दा॒म्यते॒ति न आत्थे॒ति । ओ॒मि॒ति होवाच, व्य॒ज्ञासिष्टे॒ति ।. ને કહ્યું કે,’ અમે ‘ દ’ નો ભાવાર્થ એ સમજ્યા છીએ કે ‘દમન’ ( ઇન્દ્રિય ) એ જ શ્રેષ્ઠત્વ તરફ લઇ જનારો માર્ગ છે.’

    પછી પ્રજાપતિએ મનુષ્યોને પણ ‘દ ‘ નો અક્ષરનો ગુઢાર્થ કહ્યો ને પછી દેવોની જેમ તેઓને પણ વિચારતા કરીને છોડી દીધા. તેમણે ‘દ’નો ભાવનાત્મક અર્થ કાઢ્યો. પ્રજાપતિએ એમને પૂછ્યું.  મનુષ્યોએ પણ પોતાની સમજણથી વિચારીને હકારમાં ઉત્તર આપતાં જણાવ્યું કે,’ અમારી સમજણ કહે છે કે માનવ જીવનમાં કશુંક પ્રાપ્ત કરવું હોય તો ‘ દ’ એટલે ‘દાન’ એ જ ઉત્તમ વિકલ્પ છે.  व्य॒ज्ञासिष्मे॒ति होचुः दत्ते॒ति न आत्थे॒ति । ओ॒मि॒तिहोवाच, व्य॒ज्ञासिष्टे॒ति ।

    હવે વારો અસુરોનો હતો. પ્રજાપતિએ તેમને પણ સહજ સમજણથી ‘દ’નો અર્થ સમજાવીને સવાલ કર્યો. ‘ દ’ એટલે શું ?’  અસુરોને પુછાયેલા આ જ સવાલનો ઉત્તર અસુરોએ પણ પોતાની ક્ષમતામાં વિચારી લીધો. અને ઉત્તર વાળ્યો.  ते॒भ्यो हैत॒देवा॒क्ष॒रमुवाचः द इ॒ति; व्य॒ज्ञासिष्टा३ इ॒ति । व्य॒ज्ञासिष्मे॒ति होचुः द॒यध्वमि॒ति न आत्थे॒ति । ‘અમારી આસુરીવૃત્તિને નિયંત્રણ લાવવા માટે ‘દયા’ એ જ સાચો માર્ગ છે. ‘દ’ નો અમારો અર્થ અમારા કલ્યાણ માટે એ જ છે. ‘

    આનંદિત થયેલા પ્રજાપતિ બોલ્યા, તમે સહુએ ‘ દ’ નો  જે શ્રેષ્ઠ અર્થ ગ્રહણ કર્યો છે તે જ સાચો અર્થ છે.’   દેવ,માનવ ને અસુર વૃત્તિના સહુને માટે સદાકાળ  ઉન્નતજીવનના લક્ષ્ય બની રહેશે એમ સમજાવી પ્રજાપતિએ અનુશાસિત ઉદ્ઘોષ કર્યો व्य॒ज्ञासिष्मे॒ति होचुः द॒यध्वमि॒ति न आत्थे॒ति ।ओ॒मि॒ति होवाच, व्य॒ज्ञासिष्टे॒ति । त॒देत॒देवै॒षा॒ दै॒वी वा॒ग॒नुवदतिस्तनयित्नुः॒ ददद इ॒ति; द॒म्यत दत्त॒ द॒यध्वमि॒ति । त॒देत॒त्त्रय॒ꣳशिक्षे॒द् दमं॒, दा॒नं, दया॒मि॒ति ।.‘જયારે કોઈ દિવ્યવાણી ઉચ્ચારાય ત્યારે દૈવી વાણી,પ્રકૃત્તિના સહારે પણ સમર્થન આપે તેમ  तदेतदेवैषा दैवी वागनुवदति

    स्तनयित्नुर्द द द इति दाम्यत दत्त दयध्वमिति । – દ ,દ,દ, એમ મેઘગર્જના પણ થઇ- એમ ઉપનિષદ કહે છે.

    પ્રસ્તુત કથામાં પ્રજાપતિ પાસે આવનાર ત્રણેય શિષ્યો બિલકુલ અલગ પર્યાવરણીય છે. સ્વાભાવિક છે દેવોને સ્વર્ગીય સુખ વિશેષ છે.અને જો તેની ભૌતિક ઈચ્છાઓને પ્રાધાન્ય આપી દે તો તેનું દેવત્વ ઝાંખું પડી શકે .પ્રજાપતિએ તેમને ઇન્દ્રિય દમનનો સંદેશ આપ્યો છે..માણસ પણ કર્મનિષ્ઠ છે.એટલે તેની આર્થિક સમૃદ્ધિ વધે ત્યારે એ પણ ભૌતિક સુખની દિશામાં દોડે .ઉપરાંત પૃથ્વીલોક પર તો સંઘર્ષમય જીવનાર વર્ગ પણ છે એટલે જો સમાજની સમતુલા ગોઠવવી હોય તો માણસએ આપવા વૃત્તિ વિકસાવવી જોઈએ એટલે તેને દાનનો મહિમા કહ્યો છે. ઝનૂન અને વેર બદલાની ભાવના વૃત્તિવાળા અસુરને તો જીવન વિકસાવવા દયા જ ઉત્તમ માર્ગ છે .એટલે પ્રજાપતિએ માત્ર ‘ દ’ અક્ષરના માધ્યમથી ત્રણેય શિષ્યને ઉચિત અને આવશ્યક શિક્ષણ આપ્યું.આવનાર શિષ્ય સમૂહ કદી એક સરખો ન હોય.ભિન્ન વાતાવરણ., વારસો,ભિન્ન બૌદ્ધિક સ્તર અને ભિન્ન વિચાર લઇ  આવે છે. બધાને એક લાકડીએ હાંકનાર ‘- ગુરુ શ્રેષ્ઠ નથી.દરેક શિષ્યની પોતાની આગવી ઓળખ છે અને જેની જેવી આવશ્યકતા તેને તેવું શિક્ષણ એ જ સાચી વિભાવના છે. સાથે સાથે મૌલિકતા અને તર્કશક્તિને પ્રાધાન્ય અપાયું છે.વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં માત્ર વ્યાખ્યાન અને પરીક્ષા પદ્ધતિ પરના જોરની સામે આ પ્રાચીન સંકલ્પના આદર્શ રૂપ બનીને સામે આવે છે.એટલે જ ઉપનિષદનો આ મન્ત્ર પ્રજાપતિના આ અનુશાસનિય આદેશને દ.દ.દ…. મેઘગર્જના જેવા દૈવી અનુમોદન આપે છે. तदेतदेवैषा दैवी वागनुवदतिस्तनयित्नुर्द द द इति दाम्यत दत्त दयध्वमिति । तदेतत्त्रयꣳ

    शिक्षेद् दमं दानं दयामिति ॥ અને સંદેશ આપી જાય છે કોઈને પણ માટે આખરે દમન, દાન,અને દયા જ ઉત્કર્ષના સાચા માર્ગદર્શકો છે.

    આજ રીતે બૃહદારણ્યક ઉપનિષદના પાંચમા અધ્યાયના ત્રીજા અને ચોથા અને પાંચમા બ્રાહ્મણમાં પણ પદના દરેક અક્ષરમાં છુપાયેલા મર્મને સમજાવવામાં આવ્યો છે. तदेतत्त्र्यक्षरꣳहृदयमिति । हृ इत्येकमक्षरमभिहरन्त्यस्मै स्वाश्चान्ये च यएवं वेद । द इत्येकमक्षरं ददत्यस्मै स्वाश्चान्ये च य एवं वेद ।

    यमित्येकमक्षरमेति स्वर्गं लोकं य एवं वेद ॥  હૃદય શબ્દ ક્ષરીત ન થનાર ગુણોથી યુક્ત છે. ‘ ર્હ ‘ અક્ષર છે એના પોતાના તથા બીજાના પ્રાણ પ્રવાહને અભિહરણ કરે છે. ‘દ’ જે આ જાણે છે એના પોતાના અને અન્યને દાન કરે છે ‘ ય’ જાણનાર સ્વર્ગને પ્રાપ્ત કરે છે. આ સત્યને જ જાણી રાખવાનો આગ્રહ પણ કરે છે . एवमेतन्महद्यक्षं प्रथमजं वेद सत्यं ब्रह्मेति सत्यꣳह्येव ब्रह्म ॥ અને સત્ય જ બ્રહ્મ છે એ માટે પણ ઉપનિષદ સ્પષ્ટ છે. ह्येव ब्रह्म ॥ સમગ્ર દેવગણ બ્રહ્મરૂપ સત્યની જ ઉપાસના કરે છે. अप एवेदमग्र आसुस्ता आपः सत्यमसृजन्त सत्यं ब्रह्म

    ब्रह्म प्रजापतिं प्रजापतिर्देवाꣳस्ते देवाः सत्यमेवोपासते तदेतत्त्र्यक्षरꣳ सत्यमिति । स इत्येकमक्षरं तीत्येकमक्षरं यमित्येकमक्षरम् । प्रथमोत्तमे अक्षरे सत्यं मध्यतोऽनृतं तदेतदनृतमुभयतः सत्येन परिगृहीतꣳ सत्यभूयमेव भवति ।

    नैनंविद्वाꣳसमनृतꣳ हिनस्ति ॥

    એજ રીતે  ‘ભૂ ,ભૂવઃ ‘ના પણ એવાં જ  વિશ્લેષણ છે. આ આદિત્ય મંડળમાં

    तद्यत्तत्सत्यमसौ स आदित्यो । य एष एतस्मिन्मण्डले पुरुषो यश्चायं दक्षिणेऽक्षन् पुरुषस्तावेतावन्योऽन्यस्मिन्प्रतिष्ठितौ

    रश्मिभिरेषोऽस्मिन्प्रतिष्ठितः प्राणैरयममुष्मिन् स यदोत्क्रमिष्यन्भवति शुद्धमेवैतन्मण्डलं पश्यति नैनमेते रश्मयः प्रत्यायन्ति ॥

     ‘જે ( સત્યનામ યુક્ત પુરુષ ) વિદ્યમાન છે ‘ભુ:’ તેનું શિર છે .અને ભૂવઃ તેની બે ભુજા છે .સ્વઃ તેની પ્રતિષ્ઠા કે ચરણ છે.’ અને भूरिति शिर एकꣳ शिरएकमेतदक्षरं भुव इति बाहू द्वौ बाहू द्वे एते अक्षरे स्वरिति  દ્વારા પદમાં રહેલા વિશેષ ભાવને વ્યક્ત કરે છે . મર્મ માર્ગે જીવનદૃષ્ટિ આપતું આ ઉપનિષદ માનવસમાજને દિશાદર્શક બની રહે છે.

             ભાષા એ તો મા સરસ્વતીના વસ્ત્ર અલંકાર છે.ઉપાસક તેને વિશેષ અલંકૃત કરે એ જ એની પૂજા છે.એમાંય ગુરુ દ્વારા શિષ્યના તર્ક- સમજણ વિકસાવવા માટે પ્રયોજાય ત્યારે તો તેનું અધિક મૂલ્ય જ હોય.એકાક્ષરે આંતરચક્ષુ  ખૂલે, એથી વિશેષ રૂડું શું ?


    શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com

  • ઊર્મિલ સંચાર : પ્રકરણ-૨. હ્યુસ્ટન

    યુવા ડોક્ટર શોમ ભારત જઈ વૈદ્ય ભાણજી પાસે આયુર્વેદનું જ્ઞાન લઈ…એલોપથી સારવારના સમન્વયની શોધ કરવાના પ્રયત્નમાં છે.

    જોષી પરિવારની ખુશી માટે ભારતીય કન્યા સાથે લગ્ન કરી પાછા હ્યુસ્ટન પાછા ફરે છે.

    પ્રકરણ ૧થી આગળ વાંચો…

    સરયૂ પરીખ

    શોમ તેના માતા-પિતા સાથે હ્યુસ્ટન પાછો ફર્યો. શોમ અને માયાનાં ઘડિયા લગ્ન લેવાયા પણ ખાસ કોઈ લાગણીનાં બંધનમાં અટવાયા સિવાય, બંને પોત-પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ ગયાં.

    શોમ તેના મિત્રોને ઉત્સાહપૂર્વક પોતાની ભારતની મુલાકાતની વાતો કરતો હતો. મિત્ર સ્ટિવન બોલ્યો, “તારા લગ્ન થઈ ગયા, તું બહુ ખુશ હશે!”

    “હાં, ઘરમાં બધા ખુશ છે. પણ સાંભળ, એકદમ ઉમંગની વાત તને કરવાની છે. હું ગોઆ જઈને વૈદ્ય ભાણજીને મળ્યો. આશા છે કે આપણને તેમના તરફથી સહકાર મળશે. શક્ય છે કે આપણી કેન્સર રિસર્ચ માટે આયુર્વેદ નિષ્ણાતોને અહીં મોકલશે. આપણે મેનેજમેન્ટ પાસેથી ડોલરની વ્યવસ્થા કરવાની છે.”

    સ્ટિવન તેના મિત્ર શોમનો એકલક્ષી ઉત્સાહ જોઈ રહ્યો.

    શોમનું પોતાના એપાર્ટમેન્ટ મેડિકલ સેન્ટર નજીક હતું. દર રવિવારે મમ્મીના હાથની રસોઈ અને પિતા સાથે શાસ્ત્રીય સંગીત સાંભળવા ઘેર જવાનો શિરસ્તો રાખ્યો હતો જે શોમ ક્યારેક જ ચૂકતો.

    થોડા મહિનાઓમાં માયાને અમેરિકાનું ગ્રીનકાર્ડ વિઝા મળી ગયો અને આવવાની તારીખ નક્કી થઈ ગઈ. એ દરમ્યાન, નીનાને બાળક-જન્મનો સમય હોવાથી માયાનાં આગમનને દિવસે માહી કેલિફોર્નિયામાં હતી. માહીની સૂચનાઓ શોમ સાંભળતો અને ‘હા’ અને ‘અહમ’ વચ્ચે કેટલી અમલમાં મૂકશે તેની આશંકા હતી. તેનું ધ્યાન ફરીને પોતાના કામ તરફ ક્યારે દોડી જતું એ કહેવું મુશ્કેલ હતું.

    શોમ લગ્નની વીંટી આંગળી પર ચડાવી, બને તેટલા આનંદિત દેખાવ સાથે માયાને એરપોર્ટથી ઘરે લઈ આવ્યો. રમેશ હોસ્પિટલથી ઘરે આવી ગયા હતા.

    “બેટા માયા, તમારા ઘરે બધા કેમ છે?” અને ત્યારબાદ દાદાજીની તબિયત અને બીજા સમાચારોની

    વાતચીત થઈ ગઈ.

    “માયા પહોંચી ગઈ છે તેનો ફોન કરી દઉં. તારા માતા-પિતાને ફોન કરવો છે ને?”

    “ના, તમે અંકલને કહી દો કે ત્યાં જણાવી દે.” માયાનો જવાબ જરા વિચિત્ર લાગ્યો.

    કેલિફોર્નિયામાં માહી સાથે વાતો કરી, અને નક્કી થયું કે એ ત્રણે જણા ચાર દિવસ પછી કેલિફોર્નિયા બેબીને જોવા અને નીનાને મળવા જશે. માહીએ બનાવેલી રસોઈ, ફ્રિજમાંથી કાઢી, ગરમ કરીને ત્રણે જણા મજેથી જમ્યા.… ‘બીજા દિવસે વહેલા ક્લિનીક પર જવાનું છે’ કહી, રમેશ તેમના રૂમમાં જતા રહ્યા.

    શોમ માયાની બેગ લઈ પોતાના રૂમ તરફ જવા જતો હતો, ત્યાં તેને માયાના અવાજે અટકાવ્યો.
    “હું આજે થાકેલી છું, તો તમને વાંધો ન હોય તો ગેસ્ટ-રૂમમાં રહીશ.”

    આ બીજું આશ્ચર્ય…”ઓહ, ભલે,” અને શોમ તેને ગેસ્ટ-રૂમમાં લઈ ગયો. શોમ રાતના વિચાર કરતો રહ્યો કે માયાને અજાણ્યું ન લાગે તેના માટે બધો પ્રયત્ન કરવો જોઈએ. પોતાની જવાબદારીને કેવી રીતે અદા કરવી તેની યોજનાઓ કરી.

    બીજે દિવસે સવારે રમેશ કામ પર જવા દરવાજો ખોલતો હતો ત્યાં માયા બહાર આવી અને રમેશ પાસે જઈને પગે લાગી, “અંકલ, આભાર.”

    રમેશ કહે, “અરે, આવી કોઈ ઔપચારિકતાની જરૂર નથી …સાંજે મળીએ.”

    શોમ ચા બનાવીને લઈ આવ્યો અને ટેબલ પર મૂકી. માયા સંકોચ સાથે બેઠી. દિવાલ પરના ટેલિફોન તરફ ફરી ફરીને જોયા કરતી હતી. જેવો ફોન રણક્યો કે એકદમ ઊભી થઈ ગઈ અને “હું લઈ શકું?” પૂછી, જવાબ મળતા પહેલા ઊંચકી લીધો.

    “હા, ભલે…” કહીને માયાએ ફોન મૂકી દીધો.

    માયા પાછી આવીને બેઠી, અને શોમની પ્રશ્નાર્થ ભરી નજર સાથે નજર મેળવ્યા વગર બોલી, “કેવી રીતે કહું એ ખબર નથી પડતી, પણ મેં તમારી સાથે લગ્ન… અમેરિકા આવવા માટે કર્યા હતા. મારા પ્રેમલગ્ન ભાસ્કર સાથે થઈ ગયા છે…ગયા વર્ષે. તે કાકાના આધારે અમેરિકા આવી ગયો. પણ તેના કાકા મને સ્પોન્સર કરે તેવી શક્યતા નહોતી. મારા માટે અહીં આવવાનો આ રસ્તો તમે ખોલી આપ્યો. માફ કરજો.” અવાજમાં કંપારી વધી…”મારા માતા-પિતાને આ વાતની ખબર નહોતી… ગઈકાલે મેં મુંબઈ એરપોર્ટથી તેમને કાગળ પોસ્ટ કર્યો હતો.”

    માયા એક શ્વાસે બોલી ગઈ. શોમ અવાચક થઈ ગયો. આશ્ચર્યથી તેની આંખો મટકું મારવાનું ભૂલી ગઈ…

    કળ વળતા શોમ બોલ્યો, “ઓહ! આ તો અમારા ભોળપણ અને વિશ્વાસની મજાક ઉડાડવાની યોજના હતી? છટ્! તમે તો ગજબના ઠગારા નીકળ્યાં.” અને તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો.

    માયા ભયથી ધ્રુજી ઊઠી, “જુઓ, ભાસ્કર હમણાં જ આવી પહોંચશે.”

    એ સાંભળી શોમ વ્યંગમાં હસ્યો, “તો તમે એમ માનો છો કે હું તમને જબરજસ્તી અહીં રોકવા પ્રયત્ન કરીશ?… આવી વ્યક્તિ સાથે મારે એક પળ પણ નથી ગાળવી. મને થતું હતું કે કેમ મને આ કહેવાતી પત્ની માટે કોઈ લાગણી નથી થતી? આજે ખબર પડી.” શોમ ખુરસીને ધક્કો મારી ઊભો થઈ ગયો.

    શોમે આંગળી પરથી વીંટી ઉતારી ટેબલ પર પટકી. માયા કાંપતા અવાજે બોલી, “આપણા ડિવોર્સના કાગળિયા મુંબઈથી આવશે, મહેરબાની કરી સહી કરી દેશો.”

    “જરૂર…આ સામે બારણું છે, ચાલતી પકડો.” કહીને શોમ પાછલું બારણું ખોલી પુલ પાસે જઈને બેઠો. થોડી વારમાં બેગોના ખસવાનો અવાજ અને પછી કારની ઘઘરાટી…શોમના મનને ડામાડોળ કરીને નીરવ થઈ ગઈ. એ સન્નાટામાં શોમને પોતાના મસ્તિષ્કની નસનાં ધબકારા સંભળાયા…’મારી મા કેટલી ખુશ હતી! અને દાદા-દાદી…પરિવારમાં બધાને હું શું કહીશ? મને જ કેમ આવું થાય છે! શું મારા માથા પર ‘મૂર્ખ’ છપાયેલું છે?’ તેને પોતાના કરતાં વધારે ચિંતા હતી તેના વડીલોની…કાંટો વાગ્યો તેના ઋજુ રુહમાં ને વેદના  ઉભરશે સ્વજનોના ઉરમાં!!!

    ગુસ્સાથી બળતા ચિત્તને શાંત કરવા શોમે શર્ટ-પેન્ટ ફેંકી દઈ સ્વિમિંગ પુલમાં ઝંપલાવ્યું. કેટલો સમય તરતો રહ્યો એ ભાન નહોતું. થાકીને વિવશ થઇ ગયો ત્યારે પરાણે બહાર આવી તેના પ્રિય ઓકના ઝાડ નીચે આરામ-ખુરશીમાં અઢેલીને ઊંઘી ગયો. એકાદ કલાકમાં શોમની નીંદર ખુલી અને ‘શું મને ખરાબ સ્વપ્ન આવ્યું હતું?’ પણ ના, તે હકીકત છે! એવા વિચાર સાથે દિલમાં ડંખ વાગ્યો.

    સૂમસાન ઘરમાં દાખલ થયો અને કપડાં બદલી તેણે ફોન જોડ્યો, “ડેડી, તમે જલ્દી ઘેર આવશો?”

    “કેમ દીકરા, તારો અવાજ કેમ બરાબર સંભળાતો નથી? તું અને માયા ઠીક છો ને?”

    “હાં…” શોમ આગળ કશું બોલી શક્યો નહીં. ડો.રમેશને લાગ્યું કે શોમે કોઈ દિવસ તેને આ રીતે ‘જલ્દી ઘેર આવો’ તેમ કહ્યું નથી. કોઈ ગંભીર વાત હોવી જોઈએ તેમ સમજીને કહ્યું,

    “હું દરદીઓને જોઈને લંચ પહેલા આવી જઈશ”

    શોમ ઠંડુ પાણી લેવા ગયો અને ટેબલ પર વીંટી, દાદીએ આપેલ ચેઇન, બંગડી વગેરેની ઢગલી પડેલી જોઈ નફરતથી નજર ફેરવી લીધી. વ્યવસ્થિત રીતે ગોઠવેલા, શોમના ખાસ મિત્રો, પુસ્તકોની તરફ અનાયાસ ખેંચાયો. વર્ષો પહેલાં પિતાએ ભેટ આપેલ પુસ્તક જે. કૃષ્ણમૂર્તિનું પુસ્તક હાથમાં લઈ ઉદાસિનતાથી પાનાં ફેરવવા લાગ્યો. એક વાક્ય પર નજર અટકી ગઈ…”જેને આપણે સત્ય, ઇશ્વર કે તથ્ય તરીકે જાણીએ છીએ તે સનાતન છે. તેને પરિસ્થિતિ, વિચાર કે માનવ છલ-કપટ, વિક્ષિપ્ત ન કરી શકે.”

    આગળ વધારે વાંચતો ગયો અને આવી પરિસ્થિતિ સર્જાવા વિષે તેના મનમાં પ્રકાશ પડ્યો…’અશ્રદ્ધા અને ભય’. દાદા-દાદી નિરાશ થશે તો! બીજી ઉમેદવાર નહીં મળે તો! આવા નિર્બળ વિચારો સાથે લગ્ન કર્યા. જે કાર્ય પાછળ સ્વાર્થી હેતુ હોય તેનું પરિણામ આવું આવે ત્યારે આશ્ચર્ય કેમ? … શોમ આત્મનિરીક્ષણ કરવા મજબૂર થઈ ગયો. પુસ્તક અને આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી ગયો.

    ગરાજડોર ખૂલવાના અવાજથી શોમ જાગૃત થઈ ગયો અને રમેશ ઘરમાં દાખલ થતાં જ શોમ પિતાને લાગણીવશ ભેટ્યો. રમેશે આજુબાજુ માયાને શોધવા નજર નાખીને સવાલ પૂછ્યો, “શું થયું?” માયાની કપટી યોજના વિશે સાંભળીને જાણે તેમને તમ્મર આવી ગયા. આશ્ચર્ય અને ન માની શકાય તેવી ઘટના ઘટી હતી. જીવનના અનેક અનુભવોમાંથી પસાર થયેલ સમજદાર પિતાને પણ કળ વળતા જરા વાર લાગી. પિતા પુત્ર એ વિષય પર થોડી વાતચીત કરી. કલાકો પહેલાની શોમની મનઃસ્થિતિથી તે ઘણો ઉપર હતો. શોમે પ્રામાણિકતાપૂર્વક પોતાની ભૂલોનો સ્વીકાર કર્યો.

    ત્યાં જ ફોનની ઘંટડી વાગી અને માહીએ અતિ ઉત્સાહથી જણાવ્યું, “હલો, નાનાજી, પૌત્રને આવકારવા અહીં આવી જાવ. નીના અને બેબી બરાબર છે.”

    “અભિનંદન…માહી! નીનાને વ્હાલ કહેજે.” પછી અટકીને બોલ્યા, “અને તું જ આ ખુશખબર ભારતમાં આપી દઈશ?”

    “ઓકે. તમને ત્રણેને જલ્દી મળીએ! આવજો.”

    શોમે પોતાના અંગત મિત્રોને હકીકત જણાવી પણ નીનાના બાળકની ખુશખબરની ઓઢણી તળે માયાના કુરૂપ સમાચાર ઢંકાઈ રહ્યા.

    નીનાને ઘરે જતાં પહેલાં શોમે ફોન પર રૉકીને વાત ખાનગી રાખવાનું કહી, માયા વિષે જણાવી દીધું હતું. નીનાના ઘરની ઘંટડી રમેશે વગાડી. માહી સિલ્કની સાડીમાં સજ્જ, મોટો ચાંદલો અને પ્રફુલ્લિત ચહેરા સાથે બારણું ખોલી બોલી. “રમેશ, તમે અંદર આવી જાવ. હમણાં રૉકી અને તેના મમ્મી, હોસ્પિટલથી નીના અને બેબીને લઈને આવશે તે પહેલા, વર-વધૂનું સ્વાગત કરું.”

    ડોક લંબાવી, ઉમંગભર્યા અવાજે બોલી, “શોમ! માયાને લઈને આવ, સ્વાગતની થાળી તૈયાર છે.”

    શોમ સૂટકેસ ખેંચતો આવીને, જરા નમન કરીને, અંદરના રૂમમાં જવા લાગ્યો.

    “અરે, આમ કેમ અંદર જતો રહ્યો?” માહીએ આશ્ચર્યથી રમેશને પૂછ્યું. “માયા ક્યાં?”

    “તું અહીં બેસ. તારી સાથે વાત કરવાની છે.” રમેશે બારણું બંધ કર્યું.

    માહીને માટે આ સમાચાર સહન કરવા ઘણા અઘરા હતા. હોસ્પિટલથી આવતી વખતે રૉકીએ માયાની લુચ્ચાઈ વિશે નીનાને જણાવ્યું. પ્રયત્નપૂર્વક, દિલ કઠણ કરીને નીના ઘરે આવતા પહેલાં સ્વસ્થ થઈ ગઈ. રૉકીની કારનો અવાજ સંભળાતા જ પોતાની વહાલી બહેન અને ભાણજાને આવકારવા શોમ દોડ્યો અને તેની પાછળ તેના માતા-પિતા.

    પોતાના નાના ભાઈને દૂભવવા માટે માયા તરફનો નીનાનો ગુસ્સો અમાપ હતો. જેવા તેની સાસુ બેબીને લઈને અંદર ગયા, તે રડમસ ચહેરે શોમને ભેટી પડી.

    “મને એટલું ખરાબ લાગે છે. એ માયા છોકરીની સામે કાનૂની પગલાં લેવા જોઈએ. મારી સામે આવી હોત તો સીધી કરી દેત.” નીના ઉગ્ર થઈને બોલતી હતી. શોમે તેને સોફામા બેસાડી વ્હાલથી ખભે હાથ મૂકીને બોલ્યો, “ઓ મારી પ્યારી ગુસ્સાભરી બહેના…શાંત થઈ જા. જો હું દુઃખી લાગું છું?”

    માહીની આંખો આંસુથી છલકાઈ ગઈ. તે પણ નીનાની જેમ જ વિચારતી હતી.

    રૉકી કહે, “માયાએ ગઝબનું પગલું ભર્યું કહેવાય! તેના પક્ષમાં એક જ વસ્તુ અગત્યની બની રહી કે, શોમ એક સજ્જન વ્યક્તિ છે. નહીંતર તેની દશા બહુ કફોડી થઈ જાત!”

    રમેશ કહે, “સો વાતની એક વાત, આપણા મનની શાંતિ માટે શું જરૂરી છે?…અને જીવનમાં તે મુજબ જ આપણું વર્તન રાખશું. શોમનું લક્ષ ઘણું ઊંચું છે, તે એની શક્તિ આવા પ્રસંગો પર વેડફશે નહીં.”

    કબીરા આપ ઠગાઈએ, ઓર ન ઠગીએ કોઈ,
    આપ ઠગે સુખ ઉપજે, ઓર ઠગે  દુઃખ હોઈ.


    —— ક્રમશઃ પ્રકરણ ૩ 


    Rangoli by Ila Mehta
    સુશ્રી સરયૂ પરીખનાં સંપર્ક સૂત્રો : વિજાણુ ટપાલ સરનામું: saryuparikh@gmail.com | બ્લૉગ: https://saryu.wordpress.com
  • કાગડો મરી ગયો

    વ્યંગ્ય કવન

    રમેશ પારેખ 

    સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો

    ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો

    નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
    જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો

    આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
    તું એ સિદ્ધ કરી બતાવ કાગડો મરી ગયો

    શું કાગડાના વેશમાંથી કાગડો ઊડી ગયો
    ગમે તે અર્થ ઘટાવ કાગડો મરી ગયો

    શું કામ જઈને બેસતો એ વીજળીના તાર પર?
    નડ્યો છે જોખમી સ્વભાવ કાગડો મરી ગયો

    અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા?
    કરી કરીને કાંવ… કાંવ… કાગડો મરી ગયો

    સદાય મૃતદેહ ચૂંથી કોને એમાં શોધતો?
    લઈ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો

    લ્યો, કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
    હવે આ રાષ્ટ્રગીત ગાવ” ‘કાગડો મરી ગયો’…

    રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા
    You.. stop… stop… stop… now કાગડો મરી ગયો

    રમેશ પારેખની આ રચના ખાસી પ્રસિદ્ધ થઈ છે. પહેલી નજરે એ સામાન્ય સ્તરની લાગે પણ બીજી નજરે જોતાં જ એમાં કવિની તિર્યક દૃષ્ટિ અને ભારોભાર વ્યંગ સમજાય છે. કાગડો. મહેમાન આવવાના શુકન અને કાગવાસ – આ બે ક્રિયાઓને બાદ કરતાં એવી કોઈ ઘટના નથી જેની સાથે આપણે કાગડાને સાંકળ્યો હોય. એનો કાળો રંગ, કર્કશ અવાજ અને જમાત જમાવીને મડદાં ચૂંથવાની વૃત્તિને કારણે કાગડો આપણે ત્યાં હંમેશા અપ્રિય પક્ષી જ બની રહ્યો છે. પણ રમેશ પારેખે એ આ ગઝલમાં કાગડાની વાત જ કરી નથી. અહીં કાગડો મરી ગયોના નિમિત્તે આપણી કાગવૃત્તિને નિશાન બનાવીને કવિ એક-એક શેરમાં ભારોભાર વ્યંગ કરે છે…

    સૌજન્ય : લયસ્તરો

  • સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ : (૨૨) નિયતિની દેન: લતા પણ ફરીથી લતા ન બની શકે

    {નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}

    પિયૂષ એમ પંડ્યા

    લતા મંગેશકરનો ઉલ્લેખ વખતોવખત કુદરતની અજાયબી, એક દુર્લભ ઘટના તેમ જ ચમત્કાર તરીકે કરવામાં આવે છે. ઓપી નૈયરે એક વખત કહેલું કે લતા સદીમાં એક જ વાર જન્મે છે અને આશા બે સૈકામાં એક વાર! મારે હવે પછી લતા કે આશા ફરીથી ક્યારે જન્મ લેશે તે ભાખવાની બિનજરૂરી કસરતમાં પડવું નથી. એનું સાદું કારણ એ છે કે હું જાણું છું કે લતા ફરી ક્યારેય નહીં જન્મે.

    કદાચેય લતા ફરીથી જન્મ લે તેવું ભાખતાં પહેલાં કેટલાંક પરિબળોને ધ્યાને લેવાં જોઈએ. એ સમજી લેવું જોઈએ કે લતા માત્ર કુદરતની બક્ષીસ જ નથી. તે ચોક્કસ સંજોગોના સુમેળનું પરિણામ પણ છે. તે પરિબળો પૈકીના એકની પણ ગેરહાજરી હોત તો કદાચ આપણે જાણીએ છીએ તે લતા ન હોત. કહેવું જરા અજાયબ લાગે કે લતા મંગેશકર તેમના જન્મનાં ત્રીશ વર્ષ પહેલાં કે પછી જન્મ્યાં હોત તો તેઓ   એક ‘ઘટના’ સ્વરૂપ ક્યારેય ન બન્યાં હોત. લતાએ કારકીર્દિના પહેલા દસકામાં ટોચની સફળતા મેળવી લીધી હતી. ૧૯૫૭ સુધીમાં ટોચે પહોંચી ગયા પછી માટે હાંસલ કરવા તેમને કશુંયે બાકી રહ્યું ન હતું.

    દુનિયા જે લતા મંગેશકરને આજે જાણે છે તેને ઘડવા માટે કારણભૂત સંજોગોનો આપણે વિચાર કરીએ. સુખ્યાત ગાયક માસ્ટર દિનાનાથના સંસારમાં લતાનો જન્મ થયો હતો. તેમને પિતાની સાંગીતિક ક્ષમતા વારસામાં મળી હતી. માધુર્યસભર અવાજ તો હતો જ, સાથે તેમનો ઉછેર સંગીતથી તરબતર એવા વાતાવરણમાં થયો. મળસ્કે ઉઠીને સાધના કરવા સામે તીવ્ર અણગમો હોવા છતાં પાંચ વર્ષની કુમળી વયે તે પિતાની નિગેહબાની હેઠળ શાસ્ત્રીય સંગીતની બારીકીઓથી પરીચિત થઈ ગયાં હતાં. નાટકની દુનિયામાં લતાનો પ્રથમ પ્રવેશ આકસ્મિક રીતે થયો. તેમના પિતાના નાટક ‘સુભદ્રામાં નારદનું પાત્ર ભજવનારા અભિનેતા અચાનક જ બિમાર પડી જતાં ખેલને ચાલુ રાખવા માટે ફક્ત સાત વર્ષની લતાને આગળ ધરી દેવાઈ. પોતાની ગાયકીના કૌશલ્ય થકી લતાએ શ્રોતાઓને તો ખુશ કર્યા જ, સાથે પિતાને પણ આશ્ચર્યચકિત કરી દીધા.

    તેમના પિતા ૧૯૪૨માં ૪૨ વર્ષની ઉમરે અવસાન પામ્યા ત્યાં સુધીમાં સંજોગોએ લતાને ઘણા મોટા પડકારો ઝીલવા માટે તૈયાર કરી દીધાં હતાં. તે દસ વર્ષનાં હતાં ત્યાં સુધીમાં તેમના પિતાની નાટ્યમંડળીની ઘોર નિષ્ફળતાએ કુટુંબને દારુણ ગરીબીમાં ધકેલી દીધું હતું. તેર વર્ષની લતા ઉપર વિધવા માતા, બિમાર ભાઈ અને ત્રણ નાની બહેનોના નિર્વાહની જવાબદારી આવી પડી. ટકી રહેવા માટે એકમાત્ર સંગીતનો જ આશરો હતો.

    પિતા હયાત હોત તો તેમણે લતાને ફિલ્મો માટે ગાવાની છૂટ ક્યારેય ન આપી હોત. તેમણે લતાને પોતાની જેમ શાસ્ત્રીય ગાયકીમાં ઢાળવાનું પસંદ કર્યું હોત. તેઓ કુટુંબને માટે પૂરતી આર્થિક જોગવાઈ કરતા ગયા હોત તો લતાએ ખુદે ચમકદમક વાળી ફિલ્મી દુનિયામાં જોડાવાને બદલી શાસ્ત્રીય ગાયકી અપનાવી હોત. પણ કૌટુંબિક જવાબદારી, કારમી ગરીબી અને વિવિધ અભાવોએ તેમને ફિલ્મ લાઈનમાં જોડાવાની ફરજ પાડી કેમ કે ત્યાં તત્કાળ પૈસો મળે તેમ હતું. તેમના માટે એ જીવન મરણનો સવાલ હતો. તે માટેના સંજોગો ધૂંધળા લાગતા હતા. પણ નિયતીની દેનથી તે એક અસાધારણ ગાયિકા તરીકે ઉપસી આવ્યાં. લતાની અસાધારણ કાબેલિયતને કેળવવા અને ખીલવવા માટે તે સમયે પોતપોતાની કારકીર્દિની ટોચે બિરાજમાન એવા ખુબ જ ક્ષમતાવાન સંગીત નિર્દેશકો અને કવિઓ ઉપસ્થિત હતા.

    એક નારી માટે સૌંદર્ય સાથે મુશ્કેલીઓ તેમ જ ભટકાવી દેનારા સંજોગો જોડાયેલાં હોય છે. લતાના કિસ્સામાં તેમનો સાદો દેખાવ આડકતરા વરદાનરૂપ બની રહ્યો. તે પોતાની કળાને મઠારવા ઉપર પૂરતું ધ્યા ન આપી શક્યાં. લતાના આગમન પહેલાં ભારેખમ અવાજોનું ચલણ હતું. સરખામણીએ લતાનો અવાજ ખુબ જ મધુર, પણ પાતળો અને સાવ છોકરી જેવો હતો. પણ દેશના ભાગલા અને નવા નવા સ્વરકારોના આવવાથી સર્જાયેલી ક્રાંતિ લતાને માટે  ફાયદારૂપ નીવડ્યાં.. નૂરજહાં, ખુરશીદ અને ઝીનત બેગમ જેવી ગાયિકાઓ પાકિસ્તાન જતી રહી. તે જ રીતે ભારે અવાજોને પસંદ કરનારા સ્વરકારો પણ પાકિસ્તાન ગયા. તે સમયે ઉભરી રહેલા શંકર-જયકિશન, રોશન અને મદનમોહન જેવા સંગીત નિર્દેશકોને અમીરબાઈ કર્ણાટકી કે જોહરાબાઈ અમ્બાલાવાલી જેવી ભારે અવાજ ધરાવતી ગાયિકાઓ માટે ખાસ કોઈ લગાવ નહોતો.

    લતાના પદાર્પણ માટે સમય બિલકુલ યોગ્ય હતો. ખેમચંદ પ્રકાશ, અનિલ બિશ્વાસ, નૌશાદ અને સી રામચંદ્ર જેવા અગાઉના સમયના સંગીતકારોને પણ બારિક ગુંથણીસભર સ્વરનિયોજનો કરી શકવાની તક દેખાવા લાગી. લતા જેવા કેળવાયેલા અવાજ સિવાય તે બધા એમ કરી શકવા સમર્થ નહોતા. તે સંગીતકારો અને તેમના પછી આવનારાઓએ લતાના અવાજરૂપી સુવર્ણને એવા અલંકારોમાં ઢાળ્યું, જેને દુનિયા સમક્ષ રજૂ કરી શકાય. વિપરીતતાઓએ લતાને કાર્ય પ્રત્યેના સંપૂર્ણ સમર્પણ માટે તૈયાર કર્યાં હતાં અને તેવે સમયે વરદાનરૂપ તકો સામી આવી.

    સ્વરકારો અને લતાનો અવાજ પરસ્પર પૂરક બની રહ્યાં. લતા ત્રીશ વરસ પછી જન્મ્યાં હોત તો તેમણે શું ગાયું હોત? તે ગીતો જે ઝડપે લોકપ્રિય બન્યાં તે જ ઝડપે ભૂલાઈ ગયાં હોત. એવા સંજોગોએ લતા મંગેશકરનું નિર્માણ ન કર્યું હોત. શું આવા વિપરીત અને સાનુકૂળ સંજોગો અને સર્જનાત્મક કાબેલિયત ધરાવતા સ્વરકારો તેમ જ કવિઓના સ્વરૂપમાં મળેલી તકો એક ગાયકના જીવનમાં ફરી વખત પુનરાગમન કરે ખરાં? જો ના, તો પછી બીજી લતા મંગેશકર શી રીતે સંભવી શકે?

    નોંધ :

         –   તસવીરો નેટ પરથી લીધેલી છે. તેનો કોઈ જ વ્યવસાયિક  ઉપયોગ નહીં કરવામાં આવે.

         –  મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.

         –  આ લખાણ લતા મંગેશકર માટેના શ્રદ્ધાંજલી લેખ તરીકે નથી લખાયું.


    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com

     

  • બંદિશ એક, રૂપ અનેક (૯૫): ઠૂમરી “आन मिलो सजना”

    “રાગ ખમાજ” રાજસ્થાની માં લઘુચિત્ર કલા “રાગમાળા”

    નીતિન વ્યાસ

    રાત્રી ના બીજા પ્રહરમાં ગવાતા રાગ ખમાજ માં ખયાલી ગાયકી હોતી નથી, ઘણી કર્ણપ્રિય ઠૂમરી રાગ ખમાજ માં  સાંભળવા મળે છે.  તેમાં કોમળ તેમ જ શુદ્ધ નિષાદનો પ્રયોગ થાય છે. તે સિવાય સર્વ શુદ્ધ સ્વરો છે. તેમાં આરોહે રિખબ વર્જ્ય છે. તેનો વાદી સ્વર ગાંધાર અને સંવાદી સ્વર નિષાદ છે.  તેમાં કેટલેક સ્થળે તિલંગ અને બિહાગનો ભાસ થાય છે. ગાંધીજી નું પ્રિય ભજન “વૈષ્ણવજન” આજ રાગમાં ગવાય છે.

    રાગ ખમાજ માં  એક પરંપરાગત રીતે ગવાતી ઠૂમરી, સરળ શબ્દો, “આન મિલો સજના”:

    આન મિલો સજના 
    અખિયો મેં ના આયે નીંદિયા 
    મોહે ના ભાયે કાજલ બિંદિયા 
    સુના પડા અંગના 
    સુના પડા અંગના  રે …..
    અબ આન મિલો સજના 

    ચંદા  આયે, તારે  આયે 
    આને વાલે સારે આયે….
    આયે તુમ્હી  સંગના 
    અબ આન મિલો સજના….

    બીતી જાયે યું હી ઉમરીયા
    કિસ રંગ સે અબ રંગુ ચુનરિયા 
    ભાયે ન કોઈ રંગના 
    ભાયે ન કોઈ રંગના…રે 
    અબ આન મિલો સજના….

    – કવિ શ્રી આનંદ બક્ષી

    શરૂઆતમાં  માણીએ – ઘરના ઓટલા પર મહેફિલ જામી હોય, કોઈ પેટી વગાડતું   હોય, સાથમાં એકાદ જણ ઢોલક પર અને નિજાનંદમાં મસ્તીથી ગાવાનું બજાવવાનું ચાલતું હોય ત્યારે બધું ભુલી જવાય. આ ક્લિપ છે અલ્લાહાબાદ / પ્રયાગરાજ માં જામેલી આવી  એક બેઠકની:

    કલાકારના નામ છે શ્રી કૃષ્ણદેવ, અર્જુન શુક્લ, રામરાજ અને અવધ રાજ ગુપ્તા.

    જ્યારે આવી લોકપ્રિય ઠૂમરી ફિલ્મમાં  આવે છે ત્યારે રાગ અને મુખડા ના શબ્દો એજ રહે છે, પણ અંતરામાં શબ્દોમાં અનુરૂપ ફેરફાર કરવામાં આવે છે અને ત્યાર બાદ કવિ તરીકે ફિલ્મમાં જે ગીતકાર હોય તેનું નામ જોડવામાં આવે છે. ફિલ્મ “ગદ્દાર” માં આ ઠૂમરી આવી ત્યારથી ગીતકાર શ્રી આનંદ બક્ષીનું નામ જોડવા માં આવ્યું છે.

    ૧૯૪૭ માં થયેલા દેશના વિભાજન સમયે એક મુસ્લિમ  યુવતી અને એક યુવાન સરદાર (શીખ) ની પ્રેમકથા પર આધારિત ફિલ્મ “ગદ્દાર” નું એક સબળ પાસું એ તેનું નું સંગીત હતું. લોકગીત અને ભારતીય શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતો બહુ લોકપ્રિય થયેલા. પ્રખ્યાત વાયોલિનવાદક સંગીત શિરોમણી શ્રી ઉત્તમ સિંહ સંગીતકાર સાથે શ્રી અજય ચક્રવર્તી અને બેગમ શ્રી પરવીન સુલતાના  ત્રિપુટીએ ઘણું યાદગાર સંગીત આ ફિલ્મમાં પીરસ્યું છે.

    ફિલ્મ ગદ્દાર ના દિર્ગદર્શક શ્રી અનિલ શર્મા એ કથ્થક ગુરુ શ્રી બીરજુ મહારાજને નૃત્ય નિર્દેશન માટે સમ્પર્ક કરેલો. પણ નાદુરસ્ત તબિયતને કારણે  બીરજુજી અસ્વીકાર કર્યો હતો..

    આ ગીતની ફિલ્મ માં રજૂઆત એક અગત્યના દ્રશ્યમાં પાર્શ્વમાં આ ગીત શરુ થાય છે. પહેલા પંડિત શ્રી અજય ચક્રવર્તી ના અવાજમાં અને ત્યાર બાદ શ્રી પરવીન સુલતાના ના કંઠે સંભળાય છે.

    પંડિત અજય ચક્રવર્તી આ સંગીત રચના બાબત

    એક યુવાન પ્રતિભાશાળી સંગીતકાર અને ગાયક શ્રી પૃથ્વી ગાંધર્વ

    જયપુર ના પ્રખ્યાત ઠુમરી અને ગઝલ ગાયક શ્રી સંવરમલ કથક

    સાલ 2018 કાર્યક્રમ Indian Idol 10, કલકત્તાના શ્રી સૌમ્ય ચક્રવર્તી ની એક લાજવાબ પેશકશ

    મધુબાની, બિહારની સુપ્રસિદ્ધ ગાયિકા શ્રી મૈથિલી ઠાકુર

     

    પંડિત એ. કાનનની શિષ્યા, કલકત્તાનાં શ્રી મૌમિતા મિત્રા

     

    શ્રી આનંદ મોહન પાંડે અને ચંદન સિંહ

     

    શ્રી શાલિની સિંહા

     

    અદાકારા અને ગાયિકા શ્રી સારિકા સિંહ

    ઠૂમરી ગાયિકા શ્રી મીનળ જૈન

    સુમધુર ગાયિકા શ્રી પ્રતિભા વશિષ્ઠ

    દહેરાદૂન નિવાસી ગાયક શ્રી હિમાંશુ દામોર

    પાર્શ્વ ગાયિકા શ્રી શીખI જોશી

    મંદિરા કથ્થક ગ્રુપ કલાકાર મંદિરા પાલ અને તંદ્રાની બોઝ

    નૃત્યાંગના શ્રી મૈત્રી મીદિયા

    કથ્થક નૃત્યાંગના શ્રી શાલુ શ્રીવાસ્તવ

    પંડિત શ્રી બિરજુ મહારાજની નૃત્ય શાળાની વિદ્યાર્થીનીઓ

    ગાયન  અને પિયાનો શ્રી અમિત ડે, નૃત્યાંગના શ્રી અતિત્રિ કુંડું

    એક આડ વાત:

    “A Poetry ln Motion” by American Artist Mr. Tom Schmidt

    આ ચિત્રને જોતાં એક લય – Rhythm નો ભાવ આવે છે, અશ્વ ની આંખ અને ઊડતી કેશવાળી સાથે તેના પર સ્વાર કિશોર નાં મોઢા પર દેખાતી ચપળતા ચિત્રને આકર્ષક બનાવે છે. મૂળ કેનવાસ પરનાં આ ચિત્રની સાઈઝ અને કઈ આર્ટ ગેલેરીમાં જોવા મળે તેની માહિતી નથી.પણ ઝીણવટ થી જોશો તો અંગ્રેજી જેને jigsaw puzzle કહે છે તેના નાના નાના ટુકડા – લાદીઓ જોવા મળશે. ૧૮” x ૨૪”ની સાઈઝનું બોર્ડ અને તેના પર આવી ૫૦૦ નાની નાની લાદીઓ જોડો અને આખું ચિત્ર બનાવો.

    ૨૫મી ડિસેમ્બર ૨૦૨૨થી મને કોરોના થયો એટલે દાક્તરી સલાહ મુજબ દવાની સાથે એકાંતવાસ  શરુ થયો. એક શુભચિંતક મિત્રભાવે એક puzzle નું બોક્સ ઘર આંગણે મૂકી ગયો. ચિત્ર પૂરું  થતાં દિવસો લાગ્યા. તે સમયમાં  કોરોના ગાયબ !!!!


    શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ગજું નાનું ને મોટું કામ – આંગણ-છોડનું “તુલસી” નામ !

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    તકમરિયા, તુલસી અને મરવો [ડમરો] ત્રણેય દૂરથી જોતાં લાગે એકસમાન- જાણે માસીયાઇ ભાંડરડાં જ જોઇ લ્યો ! દેખાવ અને રૂપરંગ એકબીજાને સાવ જ મળતાવડાં ! એનાં કૂણાં પાંદડાં કે ટોચ પરની માંજરને આપણાથી જો જરા સરખોય ઘસરકો થઈ ગયો તો જોઇ લ્યો મજા ! એમાં રહેલ ઉડ્ડયનશીલ-તૈલી હવાનો એવો પંપ છૂટે કે ક્ષણવારમાં એના તેજીલા સ્વભાવનો પરિચય પમાડી દે આપણને ! સુગંધની તીવ્રતા ત્રણેયની એકબીજાને આંટી દે તેવી ! સુગંધ બાબતે કોણ કોને ચડે એ કહેવું મુશ્કેલ પડે તેવું અને પાછું ઔષધીય મૂલ્ય પોતપોતાનું સાવ અલગ અલગ ! કહેવું પડે ભાઇ !

    ઉદ્વેગ મનનો હોય કે બળતરા શરીરમાં હોય, તકમરિયાનું સેવન શીતળતા બક્ષે છે. તો મરવો ચડે તિર્થંકર ભગવાનને અને લહેરાય મુસ્લિમોની કબર પર ! જ્યારે તુલસી ? “હરિ તારાં નામ છે હજાર…..”  ની જેમ “તુલસી તારા ગુણનો નહીં પાર…”, ખરાબી શરીરમાં હોય કે પ્રદૂષણ વાતાવરણમાં હોય, તુલસીનો સાથ લઈએ તો પ્રશ્નની પતાવટ ચપટી વગાડતાં !

    તમે જોજો ! જેમ ઘર હોય ત્યાં રાંધવાનો ચૂલો હોય, પાણીનું પાણિયારું હોય, સૂવા-બેસવા ખાટલા-પલંગ-પથારી હોય તેમ આવા કુટુંબ સ્વાસ્થ્યની રક્ષા કરનાર તુલસી ક્યારો પણ હોવાનો જ ! આપણા દેશમાં હિંદુઓનું કોઇ ઘર તુલસીના છોડની હાજરી વિનાનું નહીં જડે. આની પાછળનું કારણ જાણીએ ત્યારે ખબર પડે ને કે એના હોવા પછળ વૈજ્ઞાનિક કારણ સમાએલું છે.

    તુલસીની હવા જ્યાં જ્યાં પ્રસરે ત્યાંથી વાયરસ જેવા સુક્ષ્મ જીવાણુંઓને ભાગવાનો વારો આવે છે. તુલસીના પાંદડાં હોય ઝીણકુડાં પણ એના ગુણ હોય છે વંદન કરીએ એવા મોટકડાં ! તુલસીનાં પાનમાં એવું તેલ એસેંસ છે કે જેના તીવ્ર પ્રભાવથી કેટલીય જાતના માનવીય આરોગ્યને નડતર રૂપ  જંતુઓનો નાશ કરીને વાતાવરણને શુદ્ધિ બક્ષે છે. તુલસીનો વાસ છે ત્યાં મચ્છરોનો નાશ છે. એમાંય મેલેરિયાના મચ્છરોનો તો તુલસી ખાસ દુશ્મન ! તેથી તો તુલસીને “મોસ્કવીટોપ્લાંટ” કે “ફીવરપ્લાંટ” જેવું બિરૂદ પ્રાપ્ત થયું છે.

    બાગ-બગીચામાં તુલસીનો જાદુ : આપણી વાડીના ગોલા, ઉમરાન બોરમાં સડો લાગે, પાકી કેરીમાં જીવાત ભળાય, કારેલાં, કાકડી, ચીભડાં, તુરિયામાં ડુવો [ચંદી] પડી અંદરથી ફળ બગડી જાય, પાકાં જામફળમાંથી પણ જીવડાં નીકળે અને પાકાં ચીકુમાં પણ પાર વિનાની જીવાત પડી જાય એ બધાની જનેતા છે “સોનમાખી” ! આપણી ગામમાખીથી થોડીક નાનકડી પણ દેખાવે બહુ જ રૂપકડી ! આછા પીળા સોનેરી રંગની એટલે એનું નામ પડ્યું છે “સોનમાખી”. કૃષિ વિજ્ઞાનીઓ આને “ફળમાખી” કહે છે. આ માખી સાવ ઝીણી પણ ત્રાસ ફેલાવવામાં જાણે ગજવેલની છીણી ! અપલખણે છે પૂરેપૂરી ! ફળો જ્યાં કૂણાં હોય ત્યાં જ માદા માખી તેમાં પૂંછડી ભરાવી ઇંડાં મૂકી દે છે. ઇંડામાંથી ઇયળ બની ફળને અંદરથી કોરી ખાય. નાનું હોય કે મોટું, ફળમાખી અડી ગયે આખું ફળ બનાવી મૂકે નમામું ! આ માખી આપણી વાડીમાં છે કે નહીં, તેની તપાસ કરવાનું કામ ઇચ્છા થાય ત્યારે તુલસીને સોંપી જોજો, કરી આપશે.

    જાતે જ પ્રયોગ કરો ને !:  તુલસી અને એમાંયે શ્યામ [કૃષ્ણ] તુલસી હોય તો તેનાં થોડાં પાન અને ટોચ પરની માંઝરને તોડી બે હાથે હથેળીમાં મસળજો. પછી હથેળીઓ ખુલ્લી રાખી શું થાય છે એ નીરખજો ! પાંચેક મિનિટ હજુ પૂરી નહીં થાય ત્યાં ફટ દેતીકને સોનેરી રંગની માખી આવી ઉતરશે અને હથેળીમાં ફરવા માંડશે. અરે ! અરે !  ફટ…ફટ…બે-ત્રણ…સાત-આઠ ફટાફટ કરતી ઘણી બધી માખીઓ ઉતરી પડશે. રઘવાઇ બની આમ-તેમ કંઇક શોધતી દેખાશે.

    માનો કે એકપણ સોનમાખી પાંચ-સાત મિનિટ રાહ જોયા પછી પણ હથેળી પર ન જ આવે તો માનવું કે આપણી આસપાસ 100 ફૂટના ઘેરાવામાં ક્યાંય ફળો સેડવી દેનારી માખીઓની હાજરી નથી.

    અને જો માખીઓ હાથ પર આવે, તો તેને ઝીણી નજરે ઓળખવાની મહેનત કરશો તો ખ્યાલ આવ્યા વિના નહીં રહે કે અહીં આવેલ બધી સોનમાખી એ “માખી” નથી, પણ “માખા” એટલે કે નરમાખી છે. જે માદામાખીના શરીરમાંથી છૂટતી ગંધ જેવી તુલસીની વિશિષ્ટ ગંધની જાદુઇ અસરમાં છેતરાઇને ફસાઇ ગયા છે. તેને તુલસીએ પોતાના ગંધ પ્રભાવ થકી હિપ્નોટાઇઝ કર્યા અને એવી ભાન ભુલાવી દીધી છે કે બધા આટલામાં ક્યાંક એની રાણીમાખી [માદામાખી ] સંતાઇ રહી છે, એવું માનવા લાગી ગયા છે. માદા માખીના શરીરમાંથી જેવી કુદરતી ગંધ છૂટતી હોય છે, એવી જ ગંધ તુલસીના પોતાના રસની છે. માટે જ જેટલા એના ગંધ-વર્તુળમાં આવી જાય તે બધા નર ગંધના સેંટર પોંઇંટ પર ભુરાયા થઈ ઉતરી પડે છે.

    આપણે આનો લાભ લઈએ : આપણે ખાસ કરવાનું એટલું કે આપણાં આંગણ વાડી કે બાગમાં શેઢેપાળે,, ધોરિયાની ધારે, રસ્તાની કિનારીએ, અરે ! ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે પણ તુલસીના છોડ વાવવા અને મોટા થવા દેવા. તેની ક્યારેક ક્યારેક કોઇ માંઝર ચોળતી રહેવી એટલે આ નુકશાન કારક ઇયળોના જનક નરનાં ટોળાં ચોળાએલી માંઝર પર લટ્ટુ થઈ દોડતાં રહેવાનાં. બસ, એ તકનો લાભ લઈ કરીએ તેના પર થોડી અમસ્તી દવાનો સ્પ્રે ! એટલે ગોઠવાઇ જાય આવ્યા હોય એટલા બધા નરમાખાઓનો સામૂહિક વિદાયસમારંભ ! પછી તો વિધવા માખીઓ ભલેને ઇંડાં મૂક્યા કરે ! કૂકડીના ઝૂંડમાં કૂકડાની હાજરી વિના નિર્જીવ ઇંડાં જ જન્મે, તેમ ઇંડાંમાંથી ઇયળ થવાની જ નહીં ને ! થઈ ગયું ને એની જાતનું કુટુંબ નિયોજન ?

    વિજ્ઞાનીઓએ તુલસીમાંથી છૂટતી ફોરમ જેવું જ રસાયણ શોધી કાઢ્યું છે. જેનું નામ છે “મિથાઇલ યુજીનોલ”. એનું પોતું આ માખાઓને પકડવા પિંજરામાં મૂકવામાં આવે છે.  પણ આપણે આ મોંઘા રસાયણની જગ્યાએ તુલસીના રસનું પોતું કે ચોળેલા પાંદ-માંઝરની લુગદી મૂકી હોય તો એવું જ કામ વગર ખર્ચે કરી બતાવે એવી તાકાત તુલસીમાં છે.

    ખેડૂતોએ તો આ પણ જાણવું જોઇએ :   લાલતુલસી, તિલકતુલસી, કપૂરતુલસી, જંગલીતુલસી એવાં ઘણાં નામો સંભળાય છે. પણ એ બધાં એને મળતાવડાં છોડ જોઇ દીધેલાં નામ છે. તુલસીની મુખ્ય બે જાતો છે. એક છે લીલા વસ્ત્રધારી એટલે કે “રામતુલસી” અને બીજી છે જાંબલી ઝાંયની દેખાવધારી એટલે કે “શ્યામ કે કૃષ્ણતુલસી”, બન્નેના છોડ જો સાચવણ હોય તો એકથી વધારે વર્ષ ટકનારા સ્વાદે ગુણે એકસરખા.

    તુલસી તો આપણા ઘરનો છોડ, એની ઓળખ તો ગળથૂથીમાં જ થતી રહે છે.હા, એની વ્યવસ્થિત ખેતી કરવી હોય તો થોડું વિગતમાં જવું પડે. તુલસી આમ તો અસોળ યાને કોમળ દેહધારી વનસ્પતિ છે. એકધારો તીખો તાપ કે વધુ પડતી ઠંડી અને અતિ વરસાદ ખમી શકે નહીં.  બીજ તૈયાર થયે તેનાં પાકાં માંઝરમાંથી અલગ કરેલ બહુ જ બારિક બિયાંનું નીલગીરીનાં બિયાંની જેમ સાથે ઝીણી રેતી કે રાખ ભેળવી, ગાદીક્યારાથી ધરૂ ઉછેરાય છે. રોપણી બારે માસ થઈ શકે પણ ચોમાસાની ઋતુમાં કરી હોય તો ઝડપથી વૃદ્ધિ થાય. દોઢ બાય એક કે દોઢ બાય દોઢના અંતરે રોપણી કરાય. પણ જમીન જો પ્રતે નબળી અને હાડે દૂબળી હોય તો તેને બહુ મજા નહીં આવે. સારી ગોરાડુ, કાંપાળ અને પૂરતા નિતારવાળી ફળદ્રુપ જમીનમાં સારો હોંકારો આપી શકે. તેનાં પાન- ડાળાંમાંથી નિસ્યંદન દ્વારા તુલસીનું તેલ કાઢી તેના વેચાણ-બજારની વયવસ્થિત શૃખલા ગોઠવી શકનારા ખેડૂતો ઔષધબાગ બનાવી મોટું વાવેતર કરતા હોય છે. વન વિભાગ ગાંધીનગરના જણાવ્યા મુજબ વરસભરમાં ત્રણેક કાપણી કરી શકાય. ફૂલ આવવાની વેળાએ ડાળ-પાંદડાંનું કટીંગ કરતા રહેવાથી 200 થી 300 કિલો જેવું સૂકું વજન અને એમાંથી 60 થી 70 કિલો તેલ મળી રહેતું હોય છે. એટલે પ્રતિ હેક્ટરે 60 થી 70 હજાર જેવી ચોખ્ખી આવક થતી હોય છે.

    તુલસીનું ઔષધીય યોગદાન : ઉપેન્દ્રરાય સાંડેસરાના તુલસી વિશેના લખાણ પ્રમાણે મરડો, મગજની ગરમી, નસકોરી ફૂટવી, ગળા-કાનનો દુ:ખાવો, છાતીનો કફ, કબજિયાત, દાજેલા ઘા, મેલેરિયા, અરે ! વીંછીનો ટચાકો કે સર્પદંશ સુધ્ધાંમાં તુલસીની સેવા રાહત કર છે.

    શીળસની ખજવાળ, કોઢ, કરોળિયા, સફેદ દાગ, ધનુર્વા, આંખની તકલીફો, કોલેસ્ટેલનું વધવું, બ્લડપ્રેસર, દમ અને કેન્સર, પક્ષઘાત, હેડકી જેવાં પાર વિનાનાં દર્દોમાં કોઇમાં તેના પાન ચાવવાથી, કોઇમાં તેનો રસ પીવાથી તો કોઇમાં તેનો રસ શરીરે ચોપડવાથી તો કોઇમાં વળી કાળામરી, આદુ, મધ, કપૂર, કોપરેલ, ગોળ, દૂધ અને સાકર, અરે ! લસણ અને ડુંગળી સહિતના પૂરક પદાર્થોના નિશ્ચિત પ્રમાણ સાથે ઉપયોગ કરવાથી બહુ બધાં દર્દોમાં ખૂબ સારી રાહત આપનાર નિર્દોષ, સરળ, સુલભ-ઘરગથ્થુ અને ખર્ચ વિનાનું આપણું પોતીકું ઉત્તમ ઔષધ બની રહે છે. તંદુરસ્ત વ્યક્તિ પણ તેનું સેવન ચાલુ રાખે તો કોઇ પણ રોગ પાસે ઢુંકી શકતા નથી.

    આધ્યાત્મ મહત્વ : તુલસીમાં એક વિશિષ્ટ ઘટક એવું પણ માલુમ પડ્યું છે કે જે સંતતિ નિયમનમાં મદદરૂપ થાય. સંશોધકો દ્વારા ઉંદર ઉપર કરેલા પ્રયોગો દ્વારા ઉત્સાહજનક પરિણામો મળ્યાં છે. એટલે હાલની સંતતિનિયમન માટેની ગોળીઓની જે થોડી ઘણી આડ અસરો થતી રહે છે તેમાંથી તુલસી તુલસીમાંથી બનનારી બનાવટ નિર્દોષ હશે.

    જિંદગીના શ્રેષ્ઠ પ્રસંગો માંહ્યલો એક “લગ્નપ્રસંગ”, તે નિર્વિઘ્ન પૂર્ણ થાય અને દંપતિના સંસાર સુખમય રીતે ચાલે તેવા શુભારંભનું કામ ભગવાન વિષ્ણુને સોંપાયું છે. એટલે જ દર વરસે દેવદિવાળીએ વિષ્ણુ સાથે તુલસીની જાન જોડી, ફેરા ફેરવી વાજતે ગાજતે લગ્ન કરાવ્યા પછી જ આપણાં યુવાન યુવક-યુવતીઓના લગ્નનો પ્રારંભ કરાય છે. આપને ખ્યાલ હશે જ કે આપણી ભારતીય સ્ત્રીઓ તુલસીની બહુ જ ભાવથી પૂજા કરતી હોય છે. અરે, સત્યનારાયણની કથામાં, વિષ્ણુ સહસ્ત્રના જાપ જપતાં જપતાં દરેક વખતે તુલસીપત્ર ચઢાવાતા હોય છે.

    તુલસી માનવ જીવનમાં એવી રીતે ઓતપ્રોત થઈ ગઈ છે કે કેટલાય કાર્યોમાં એની હાજરી ન ભળાય ત્યાં સુધી કાર્ય ખોરંભાઇને અટકી જતું હોય છે. ભગવાનની આરતી પછી અપાતા ચરણામૃતમાં દહીં, દૂધ, સાકર જેવી વસ્તુઓ નહીં હોય તો ચાલશે, પણ એવા સાદા જળમાં માત્ર તુલસીપત્ર નખાયે કામ ચાલી જશે. પ્રભુને પ્રસાદ ધરતી વેળા મેવા-મીઠાઇ જે હાજર હોય તે થાળમાં મુકાય, બાકી તુલસીપત્ર ન હોય તો ન ચાલે !

    કોઇ દાન દેવું હોય તો દાનની નાની મોટી ઓછી વત્તી યથાશક્તિ ચીજવસ્તુ જે હોય તે માંગલિક, બાકી એમાં તુલસીપત્રનું ઉમેરણ ન થાય તો દાન અધૂરું ! માણસનું મૃત્યુ થાય પછી તેને ભોંય લેવામાં આવે ત્યારે શરીરે સ્નાન કરાવી ઘી ચોળવામાં આવે અને મુખમાં તુલસીપત્ર મૂક્યા પછી જ બહાર લવાય અને અગ્નિસંસ્કાર માટે લાકડાં-છાણાં-ઘાસ-ઘી તલ વગેરે વસ્તુઓ  જેમ સ્મશાને પહોંચતી કરવાની હોય, તેમ તુલસીના છોડનો સૂકો એકાદ કટકો કે ડાળી-પાંખડાં મૃતદેહની સાથે જ નનામીમા ગોઠવી દેવાતાં હોય છે.  જેથી અગ્નિસંસ્કારની શરૂઆત તુલસીકાષ્ટથી જ કરાય.

    ભક્તિભાવ પૂર્વક મુકાએલ એક તુલસીપત્ર સામે સાક્ષાત ભગવાન સામે છાબડે તોળાઇ ગયા હતા. “નાથ તમે તુલસીને પત્રે તોળાણા” તુલસીપત્રનું છાબડું નીચું નમતું રહ્યું હતું તેનો ગુઢાર્થ સમજવો જરૂરી છે.

    કહો 1 જન્મથી માંડી મૃત્યુ સુધી જુદા જુદા કેટલાય હેતુસર આપણી હારોહાર રહી જીવન જીવવામાં આપણને વધુમાં વધુ અનુકૂળતા કરી આપનાર તુલસીને ઉત્તમોત્તમ વનસ્પતિ કહી શકાય કે નહીં ?


    સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com