{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}

પિયૂષ એમ પંડ્યા

લતા મંગેશકરનો ઉલ્લેખ વખતોવખત કુદરતની અજાયબી, એક દુર્લભ ઘટના તેમ જ ચમત્કાર તરીકે કરવામાં આવે છે. ઓપી નૈયરે એક વખત કહેલું કે લતા સદીમાં એક જ વાર જન્મે છે અને આશા બે સૈકામાં એક વાર! મારે હવે પછી લતા કે આશા ફરીથી ક્યારે જન્મ લેશે તે ભાખવાની બિનજરૂરી કસરતમાં પડવું નથી. એનું સાદું કારણ એ છે કે હું જાણું છું કે લતા ફરી ક્યારેય નહીં જન્મે.

કદાચેય લતા ફરીથી જન્મ લે તેવું ભાખતાં પહેલાં કેટલાંક પરિબળોને ધ્યાને લેવાં જોઈએ. એ સમજી લેવું જોઈએ કે લતા માત્ર કુદરતની બક્ષીસ જ નથી. તે ચોક્કસ સંજોગોના સુમેળનું પરિણામ પણ છે. તે પરિબળો પૈકીના એકની પણ ગેરહાજરી હોત તો કદાચ આપણે જાણીએ છીએ તે લતા ન હોત. કહેવું જરા અજાયબ લાગે કે લતા મંગેશકર તેમના જન્મનાં ત્રીશ વર્ષ પહેલાં કે પછી જન્મ્યાં હોત તો તેઓ   એક ‘ઘટના’ સ્વરૂપ ક્યારેય ન બન્યાં હોત. લતાએ કારકીર્દિના પહેલા દસકામાં ટોચની સફળતા મેળવી લીધી હતી. ૧૯૫૭ સુધીમાં ટોચે પહોંચી ગયા પછી માટે હાંસલ કરવા તેમને કશુંયે બાકી રહ્યું ન હતું.

દુનિયા જે લતા મંગેશકરને આજે જાણે છે તેને ઘડવા માટે કારણભૂત સંજોગોનો આપણે વિચાર કરીએ. સુખ્યાત ગાયક માસ્ટર દિનાનાથના સંસારમાં લતાનો જન્મ થયો હતો. તેમને પિતાની સાંગીતિક ક્ષમતા વારસામાં મળી હતી. માધુર્યસભર અવાજ તો હતો જ, સાથે તેમનો ઉછેર સંગીતથી તરબતર એવા વાતાવરણમાં થયો. મળસ્કે ઉઠીને સાધના કરવા સામે તીવ્ર અણગમો હોવા છતાં પાંચ વર્ષની કુમળી વયે તે પિતાની નિગેહબાની હેઠળ શાસ્ત્રીય સંગીતની બારીકીઓથી પરીચિત થઈ ગયાં હતાં. નાટકની દુનિયામાં લતાનો પ્રથમ પ્રવેશ આકસ્મિક રીતે થયો. તેમના પિતાના નાટક ‘સુભદ્રામાં નારદનું પાત્ર ભજવનારા અભિનેતા અચાનક જ બિમાર પડી જતાં ખેલને ચાલુ રાખવા માટે ફક્ત સાત વર્ષની લતાને આગળ ધરી દેવાઈ. પોતાની ગાયકીના કૌશલ્ય થકી લતાએ શ્રોતાઓને તો ખુશ કર્યા જ, સાથે પિતાને પણ આશ્ચર્યચકિત કરી દીધા.

તેમના પિતા ૧૯૪૨માં ૪૨ વર્ષની ઉમરે અવસાન પામ્યા ત્યાં સુધીમાં સંજોગોએ લતાને ઘણા મોટા પડકારો ઝીલવા માટે તૈયાર કરી દીધાં હતાં. તે દસ વર્ષનાં હતાં ત્યાં સુધીમાં તેમના પિતાની નાટ્યમંડળીની ઘોર નિષ્ફળતાએ કુટુંબને દારુણ ગરીબીમાં ધકેલી દીધું હતું. તેર વર્ષની લતા ઉપર વિધવા માતા, બિમાર ભાઈ અને ત્રણ નાની બહેનોના નિર્વાહની જવાબદારી આવી પડી. ટકી રહેવા માટે એકમાત્ર સંગીતનો જ આશરો હતો.

પિતા હયાત હોત તો તેમણે લતાને ફિલ્મો માટે ગાવાની છૂટ ક્યારેય ન આપી હોત. તેમણે લતાને પોતાની જેમ શાસ્ત્રીય ગાયકીમાં ઢાળવાનું પસંદ કર્યું હોત. તેઓ કુટુંબને માટે પૂરતી આર્થિક જોગવાઈ કરતા ગયા હોત તો લતાએ ખુદે ચમકદમક વાળી ફિલ્મી દુનિયામાં જોડાવાને બદલી શાસ્ત્રીય ગાયકી અપનાવી હોત. પણ કૌટુંબિક જવાબદારી, કારમી ગરીબી અને વિવિધ અભાવોએ તેમને ફિલ્મ લાઈનમાં જોડાવાની ફરજ પાડી કેમ કે ત્યાં તત્કાળ પૈસો મળે તેમ હતું. તેમના માટે એ જીવન મરણનો સવાલ હતો. તે માટેના સંજોગો ધૂંધળા લાગતા હતા. પણ નિયતીની દેનથી તે એક અસાધારણ ગાયિકા તરીકે ઉપસી આવ્યાં. લતાની અસાધારણ કાબેલિયતને કેળવવા અને ખીલવવા માટે તે સમયે પોતપોતાની કારકીર્દિની ટોચે બિરાજમાન એવા ખુબ જ ક્ષમતાવાન સંગીત નિર્દેશકો અને કવિઓ ઉપસ્થિત હતા.

એક નારી માટે સૌંદર્ય સાથે મુશ્કેલીઓ તેમ જ ભટકાવી દેનારા સંજોગો જોડાયેલાં હોય છે. લતાના કિસ્સામાં તેમનો સાદો દેખાવ આડકતરા વરદાનરૂપ બની રહ્યો. તે પોતાની કળાને મઠારવા ઉપર પૂરતું ધ્યા ન આપી શક્યાં. લતાના આગમન પહેલાં ભારેખમ અવાજોનું ચલણ હતું. સરખામણીએ લતાનો અવાજ ખુબ જ મધુર, પણ પાતળો અને સાવ છોકરી જેવો હતો. પણ દેશના ભાગલા અને નવા નવા સ્વરકારોના આવવાથી સર્જાયેલી ક્રાંતિ લતાને માટે  ફાયદારૂપ નીવડ્યાં.. નૂરજહાં, ખુરશીદ અને ઝીનત બેગમ જેવી ગાયિકાઓ પાકિસ્તાન જતી રહી. તે જ રીતે ભારે અવાજોને પસંદ કરનારા સ્વરકારો પણ પાકિસ્તાન ગયા. તે સમયે ઉભરી રહેલા શંકર-જયકિશન, રોશન અને મદનમોહન જેવા સંગીત નિર્દેશકોને અમીરબાઈ કર્ણાટકી કે જોહરાબાઈ અમ્બાલાવાલી જેવી ભારે અવાજ ધરાવતી ગાયિકાઓ માટે ખાસ કોઈ લગાવ નહોતો.

લતાના પદાર્પણ માટે સમય બિલકુલ યોગ્ય હતો. ખેમચંદ પ્રકાશ, અનિલ બિશ્વાસ, નૌશાદ અને સી રામચંદ્ર જેવા અગાઉના સમયના સંગીતકારોને પણ બારિક ગુંથણીસભર સ્વરનિયોજનો કરી શકવાની તક દેખાવા લાગી. લતા જેવા કેળવાયેલા અવાજ સિવાય તે બધા એમ કરી શકવા સમર્થ નહોતા. તે સંગીતકારો અને તેમના પછી આવનારાઓએ લતાના અવાજરૂપી સુવર્ણને એવા અલંકારોમાં ઢાળ્યું, જેને દુનિયા સમક્ષ રજૂ કરી શકાય. વિપરીતતાઓએ લતાને કાર્ય પ્રત્યેના સંપૂર્ણ સમર્પણ માટે તૈયાર કર્યાં હતાં અને તેવે સમયે વરદાનરૂપ તકો સામી આવી.

સ્વરકારો અને લતાનો અવાજ પરસ્પર પૂરક બની રહ્યાં. લતા ત્રીશ વરસ પછી જન્મ્યાં હોત તો તેમણે શું ગાયું હોત? તે ગીતો જે ઝડપે લોકપ્રિય બન્યાં તે જ ઝડપે ભૂલાઈ ગયાં હોત. એવા સંજોગોએ લતા મંગેશકરનું નિર્માણ ન કર્યું હોત. શું આવા વિપરીત અને સાનુકૂળ સંજોગો અને સર્જનાત્મક કાબેલિયત ધરાવતા સ્વરકારો તેમ જ કવિઓના સ્વરૂપમાં મળેલી તકો એક ગાયકના જીવનમાં ફરી વખત પુનરાગમન કરે ખરાં? જો ના, તો પછી બીજી લતા મંગેશકર શી રીતે સંભવી શકે?

નોંધ :

     –   તસવીરો નેટ પરથી લીધેલી છે. તેનો કોઈ જ વ્યવસાયિક  ઉપયોગ નહીં કરવામાં આવે.

     –  મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.

     –  આ લખાણ લતા મંગેશકર માટેના શ્રદ્ધાંજલી લેખ તરીકે નથી લખાયું.


શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com