ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

દિનેશ.લ. માંકડ

દરેક ઉપનિષદને તેની વિશેષ શિક્ષણ વિભાવનાઓ છે.જ્યાં અને જેવી રીતે જિજ્ઞાસુઓ પહોંચે ત્યાં પોતાના જ્ઞાનનો નિર્વ્યાજ, અને નિસ્પૃહી ભાવે વહેંચણી વિવિધ રીતે ,વિવિધ પદ્ધતિથી કરવી એ ઉપનિષદોની લાક્ષણિકતા રહેલી છે. વિશાળ એવું બૃહદારણ્યક ઉપનિષદ પણ આવાં અનેક ગુરુ-શિષ્ય બોધ લઈને આવે છે.શુક્લ યજુર્વેદની કણ્વ શાખાના શતપથ-વાજસેનીય બ્રાહ્મણ અંતર્ગત આ ઉપનિષદ છે.એમાં છ અધ્યાય છે અને દરેકમાં અનેક  બ્રાહ્મણ છે.

             શિષ્યની તર્કશક્તિ અને મૌલિકતા ખુબ તીવ્રતાપૂર્વક અને વિવિધ પ્રયુક્તિઓ દ્વારા વિકસે એ શિક્ષણની વિશેષ વિભાવના છે.એમાંય ભારતીય સંસ્કૃતિને તો વિશ્વની શ્રેષ્ઠ દેવભાષા સંસ્કૃતનું અણમોલ વરદાન છે. સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ તો અનન્ય છે. બૃહદારણ્યક ઉપનિષદના પાંચમા અધ્યાયના પ્રથમ બ્રાહ્મણમાં આપણી આ મહામૂલી ભાષાના એકાક્ષરી સાંકેતિક શબ્દો દ્વારા ગુરુ-શિષ્ય કેટલું અગાધ જ્ઞાન આપી શકે તે દર્શાવાયું છે.

ઉપનિષદના પાંચમા અધ્યાયના પ્રથમ બ્રાહ્નણનો ॐ पूर्णमदः पूर्णमिदं …..મંત્રથી પ્રારંભ કર્યો છે.  કૌરવ્યાયણી પુત્રના મત અનુસાર ‘ ખં ‘ ( અનંત આકાશ ) જ બ્રહ્મ છે.તેની અંદર વાયુ વિચરણ કરે છે. ॐ३ खं ब्रह्म खं पुराणं वायुरं खमिति ह स्माऽऽह कौरव्यायणीपुत्रो। वेदोऽयम्ं ब्राह्मणा विदुर्वेदैनेनयद्वेदितव्यम् ॥ આમ અહીં પ્રારંભથી જ એકાક્ષરી શબ્દનું મહત્ત્વ બતાવાયું છે.

           જ્યાં સુધી શિષ્ય સ્વતંત્ર વિચારતો ન થાય ત્યાં સુધી તે શિષ્યના મનમાં એક વિચાર બીજ રોપાય અને એ વિચારતો થાય. અને એટલે જ ગુરુ પણ કોઈ સંકેત કે વિચાર મૂકી શિષ્ય પર છોડી દે.શિષ્ય તેના પર પૂરતી વિચાર શક્તિ દોડાવે તારણ કાઢે ને પછી  ઉત્તર આપે.

બૃહદારણ્યક ઉપનિષદની એક કથા આવો જ એક સંદેશ લઈને આવે છે. પ્રજાપતિના ત્રણેય પુત્રો દેવ,માનવ અને અસુર પૂર્ણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યા પછી પિતા-ગુરુ પાસે આવ્યા.અમને ઉપદેશ આપો સહુ પ્રથમ દેવતાઓનો વારો. તેમની વિચારશક્તિ અને વિચાર દિશા જાણવા માટે પ્રજાપતિએ તેમને કહ્યું,’ દ’ એટલે શું ? ‘ ते॒भ्यो हैत॒दक्ष॒रमुवाचः द॒ इ॒ति; व्य॒ज्ञासिष्टा३ इ॒ति । તેનો માર્મિક વિચાર કરવા માટે સંકેત કરીને  તેમની પર છોડી દીધું.. થોડીવાર તેમને સૂચક રીતે પૂછી લીધું કે તમે સમજી ગયા છો ને ?  દેવોએ સંમતિ સૂચક હા પાડી व्य॒ज्ञासिष्मे॒ति होचुः दा॒म्यते॒ति न आत्थे॒ति । ओ॒मि॒ति होवाच, व्य॒ज्ञासिष्टे॒ति ।. ને કહ્યું કે,’ અમે ‘ દ’ નો ભાવાર્થ એ સમજ્યા છીએ કે ‘દમન’ ( ઇન્દ્રિય ) એ જ શ્રેષ્ઠત્વ તરફ લઇ જનારો માર્ગ છે.’

પછી પ્રજાપતિએ મનુષ્યોને પણ ‘દ ‘ નો અક્ષરનો ગુઢાર્થ કહ્યો ને પછી દેવોની જેમ તેઓને પણ વિચારતા કરીને છોડી દીધા. તેમણે ‘દ’નો ભાવનાત્મક અર્થ કાઢ્યો. પ્રજાપતિએ એમને પૂછ્યું.  મનુષ્યોએ પણ પોતાની સમજણથી વિચારીને હકારમાં ઉત્તર આપતાં જણાવ્યું કે,’ અમારી સમજણ કહે છે કે માનવ જીવનમાં કશુંક પ્રાપ્ત કરવું હોય તો ‘ દ’ એટલે ‘દાન’ એ જ ઉત્તમ વિકલ્પ છે.  व्य॒ज्ञासिष्मे॒ति होचुः दत्ते॒ति न आत्थे॒ति । ओ॒मि॒तिहोवाच, व्य॒ज्ञासिष्टे॒ति ।

હવે વારો અસુરોનો હતો. પ્રજાપતિએ તેમને પણ સહજ સમજણથી ‘દ’નો અર્થ સમજાવીને સવાલ કર્યો. ‘ દ’ એટલે શું ?’  અસુરોને પુછાયેલા આ જ સવાલનો ઉત્તર અસુરોએ પણ પોતાની ક્ષમતામાં વિચારી લીધો. અને ઉત્તર વાળ્યો.  ते॒भ्यो हैत॒देवा॒क्ष॒रमुवाचः द इ॒ति; व्य॒ज्ञासिष्टा३ इ॒ति । व्य॒ज्ञासिष्मे॒ति होचुः द॒यध्वमि॒ति न आत्थे॒ति । ‘અમારી આસુરીવૃત્તિને નિયંત્રણ લાવવા માટે ‘દયા’ એ જ સાચો માર્ગ છે. ‘દ’ નો અમારો અર્થ અમારા કલ્યાણ માટે એ જ છે. ‘

આનંદિત થયેલા પ્રજાપતિ બોલ્યા, તમે સહુએ ‘ દ’ નો  જે શ્રેષ્ઠ અર્થ ગ્રહણ કર્યો છે તે જ સાચો અર્થ છે.’   દેવ,માનવ ને અસુર વૃત્તિના સહુને માટે સદાકાળ  ઉન્નતજીવનના લક્ષ્ય બની રહેશે એમ સમજાવી પ્રજાપતિએ અનુશાસિત ઉદ્ઘોષ કર્યો व्य॒ज्ञासिष्मे॒ति होचुः द॒यध्वमि॒ति न आत्थे॒ति ।ओ॒मि॒ति होवाच, व्य॒ज्ञासिष्टे॒ति । त॒देत॒देवै॒षा॒ दै॒वी वा॒ग॒नुवदतिस्तनयित्नुः॒ ददद इ॒ति; द॒म्यत दत्त॒ द॒यध्वमि॒ति । त॒देत॒त्त्रय॒ꣳशिक्षे॒द् दमं॒, दा॒नं, दया॒मि॒ति ।.‘જયારે કોઈ દિવ્યવાણી ઉચ્ચારાય ત્યારે દૈવી વાણી,પ્રકૃત્તિના સહારે પણ સમર્થન આપે તેમ  तदेतदेवैषा दैवी वागनुवदति

स्तनयित्नुर्द द द इति दाम्यत दत्त दयध्वमिति । – દ ,દ,દ, એમ મેઘગર્જના પણ થઇ- એમ ઉપનિષદ કહે છે.

પ્રસ્તુત કથામાં પ્રજાપતિ પાસે આવનાર ત્રણેય શિષ્યો બિલકુલ અલગ પર્યાવરણીય છે. સ્વાભાવિક છે દેવોને સ્વર્ગીય સુખ વિશેષ છે.અને જો તેની ભૌતિક ઈચ્છાઓને પ્રાધાન્ય આપી દે તો તેનું દેવત્વ ઝાંખું પડી શકે .પ્રજાપતિએ તેમને ઇન્દ્રિય દમનનો સંદેશ આપ્યો છે..માણસ પણ કર્મનિષ્ઠ છે.એટલે તેની આર્થિક સમૃદ્ધિ વધે ત્યારે એ પણ ભૌતિક સુખની દિશામાં દોડે .ઉપરાંત પૃથ્વીલોક પર તો સંઘર્ષમય જીવનાર વર્ગ પણ છે એટલે જો સમાજની સમતુલા ગોઠવવી હોય તો માણસએ આપવા વૃત્તિ વિકસાવવી જોઈએ એટલે તેને દાનનો મહિમા કહ્યો છે. ઝનૂન અને વેર બદલાની ભાવના વૃત્તિવાળા અસુરને તો જીવન વિકસાવવા દયા જ ઉત્તમ માર્ગ છે .એટલે પ્રજાપતિએ માત્ર ‘ દ’ અક્ષરના માધ્યમથી ત્રણેય શિષ્યને ઉચિત અને આવશ્યક શિક્ષણ આપ્યું.આવનાર શિષ્ય સમૂહ કદી એક સરખો ન હોય.ભિન્ન વાતાવરણ., વારસો,ભિન્ન બૌદ્ધિક સ્તર અને ભિન્ન વિચાર લઇ  આવે છે. બધાને એક લાકડીએ હાંકનાર ‘- ગુરુ શ્રેષ્ઠ નથી.દરેક શિષ્યની પોતાની આગવી ઓળખ છે અને જેની જેવી આવશ્યકતા તેને તેવું શિક્ષણ એ જ સાચી વિભાવના છે. સાથે સાથે મૌલિકતા અને તર્કશક્તિને પ્રાધાન્ય અપાયું છે.વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં માત્ર વ્યાખ્યાન અને પરીક્ષા પદ્ધતિ પરના જોરની સામે આ પ્રાચીન સંકલ્પના આદર્શ રૂપ બનીને સામે આવે છે.એટલે જ ઉપનિષદનો આ મન્ત્ર પ્રજાપતિના આ અનુશાસનિય આદેશને દ.દ.દ…. મેઘગર્જના જેવા દૈવી અનુમોદન આપે છે. तदेतदेवैषा दैवी वागनुवदतिस्तनयित्नुर्द द द इति दाम्यत दत्त दयध्वमिति । तदेतत्त्रयꣳ

शिक्षेद् दमं दानं दयामिति ॥ અને સંદેશ આપી જાય છે કોઈને પણ માટે આખરે દમન, દાન,અને દયા જ ઉત્કર્ષના સાચા માર્ગદર્શકો છે.

આજ રીતે બૃહદારણ્યક ઉપનિષદના પાંચમા અધ્યાયના ત્રીજા અને ચોથા અને પાંચમા બ્રાહ્મણમાં પણ પદના દરેક અક્ષરમાં છુપાયેલા મર્મને સમજાવવામાં આવ્યો છે. तदेतत्त्र्यक्षरꣳहृदयमिति । हृ इत्येकमक्षरमभिहरन्त्यस्मै स्वाश्चान्ये च यएवं वेद । द इत्येकमक्षरं ददत्यस्मै स्वाश्चान्ये च य एवं वेद ।

यमित्येकमक्षरमेति स्वर्गं लोकं य एवं वेद ॥  હૃદય શબ્દ ક્ષરીત ન થનાર ગુણોથી યુક્ત છે. ‘ ર્હ ‘ અક્ષર છે એના પોતાના તથા બીજાના પ્રાણ પ્રવાહને અભિહરણ કરે છે. ‘દ’ જે આ જાણે છે એના પોતાના અને અન્યને દાન કરે છે ‘ ય’ જાણનાર સ્વર્ગને પ્રાપ્ત કરે છે. આ સત્યને જ જાણી રાખવાનો આગ્રહ પણ કરે છે . एवमेतन्महद्यक्षं प्रथमजं वेद सत्यं ब्रह्मेति सत्यꣳह्येव ब्रह्म ॥ અને સત્ય જ બ્રહ્મ છે એ માટે પણ ઉપનિષદ સ્પષ્ટ છે. ह्येव ब्रह्म ॥ સમગ્ર દેવગણ બ્રહ્મરૂપ સત્યની જ ઉપાસના કરે છે. अप एवेदमग्र आसुस्ता आपः सत्यमसृजन्त सत्यं ब्रह्म

ब्रह्म प्रजापतिं प्रजापतिर्देवाꣳस्ते देवाः सत्यमेवोपासते तदेतत्त्र्यक्षरꣳ सत्यमिति । स इत्येकमक्षरं तीत्येकमक्षरं यमित्येकमक्षरम् । प्रथमोत्तमे अक्षरे सत्यं मध्यतोऽनृतं तदेतदनृतमुभयतः सत्येन परिगृहीतꣳ सत्यभूयमेव भवति ।

नैनंविद्वाꣳसमनृतꣳ हिनस्ति ॥

એજ રીતે  ‘ભૂ ,ભૂવઃ ‘ના પણ એવાં જ  વિશ્લેષણ છે. આ આદિત્ય મંડળમાં

तद्यत्तत्सत्यमसौ स आदित्यो । य एष एतस्मिन्मण्डले पुरुषो यश्चायं दक्षिणेऽक्षन् पुरुषस्तावेतावन्योऽन्यस्मिन्प्रतिष्ठितौ

रश्मिभिरेषोऽस्मिन्प्रतिष्ठितः प्राणैरयममुष्मिन् स यदोत्क्रमिष्यन्भवति शुद्धमेवैतन्मण्डलं पश्यति नैनमेते रश्मयः प्रत्यायन्ति ॥

 ‘જે ( સત્યનામ યુક્ત પુરુષ ) વિદ્યમાન છે ‘ભુ:’ તેનું શિર છે .અને ભૂવઃ તેની બે ભુજા છે .સ્વઃ તેની પ્રતિષ્ઠા કે ચરણ છે.’ અને भूरिति शिर एकꣳ शिरएकमेतदक्षरं भुव इति बाहू द्वौ बाहू द्वे एते अक्षरे स्वरिति  દ્વારા પદમાં રહેલા વિશેષ ભાવને વ્યક્ત કરે છે . મર્મ માર્ગે જીવનદૃષ્ટિ આપતું આ ઉપનિષદ માનવસમાજને દિશાદર્શક બની રહે છે.

         ભાષા એ તો મા સરસ્વતીના વસ્ત્ર અલંકાર છે.ઉપાસક તેને વિશેષ અલંકૃત કરે એ જ એની પૂજા છે.એમાંય ગુરુ દ્વારા શિષ્યના તર્ક- સમજણ વિકસાવવા માટે પ્રયોજાય ત્યારે તો તેનું અધિક મૂલ્ય જ હોય.એકાક્ષરે આંતરચક્ષુ  ખૂલે, એથી વિશેષ રૂડું શું ?


શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com