વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • મારા પછી-૪

    પારુલ ખખ્ખર

                  તારા ગયા પછીની વાત તો મેં પન્નાઓ ભરીભરીને લખી છે અને સાચું કહું તો ત્યાર પછી જ થોડી સ્વસ્થ થઈ છું.પરંતુ હજુયે ઘણી વાર રાત્રે ઊંઘમાંથી ઝબકીને જાગી જઉં છું અને પછી સવાર સુધી ઊંઘી જ નથી શકતી.વિચારતી રહું કે મારા ગયા પછી તારા જીવનમાં કશી ઉથલપાથલ થઈ હશે ? કોઈ નાનો અમથો ઉઝરડો યે પડ્યો હશે? ઇન્જેક્શનની સોય વાગે એવો જરાક અમથો ચટકો કે જીણકી એવી પીડા જેવું કશું અનુભવાયું હશે? આમ તો તને જેટલો ઓળખ્યો છે એ જોતા લાગે છે કે કદાચ થયું હશે ડાબી તરફની પાંસળીમાં થોડું કણસાટ જેવું પરંતુ એ વાત તે તારા આખાયે અસ્તિત્વથી છૂપાવી હશે. તે તને જ ખબર નહીં પડવા દીધી હોય કે તને કોઈ પીડા થઈ છે,તને પણ ખાલિપો અનુભવાય છે, તને પણ ધક્કો લાગ્યો છે અને તું પણ અંદરથી તૂટ્યોછે. તે તારી આસપાસ મજબુત દિવાલો ચણી લીધી છે અને એ સંવેદનપ્રૂફ છે તેથી મારા ગયા પછીનું દર્દ એ દિવાલોની પાર જઈ શક્યું છે કે નહીં એ હું નથી જાણતી.તે શું અનુભવ્યું, તે કશું અનુભવ્યું પણ છે કે નહીં એ હું નથી જાણતી કે નથી મને એવી કોઈ પરવા. મારે તો આ અવસાદની ચુંગલમાંથી બહાર નીકળવું છે અને એટલે જ આ ‘મારા પછી’ની લેખમાળા.

    મારાથી અલગ થવું એ કદાચ નિયતિ હતી અને એ નિયતિને તે મક્કમ બનીને સ્વીકારી લીધી.ત્રણસોને પાંસઠ દિવસોમાં એક વસમો દિવસ ઊગીને આથમી ગયો બસ… ત્યારથી દિવસ ઊગે છે..રાત થાય છે અને તો યે બધુ જ સ્થગિત છે તારા જીવનમાં. રોજ સવારે અગિયારનો કાંટો બતાવતી ઘડિયાળ તને મારો નંબર ડાયલ કરવા પ્રેરતી હશે અને તું ઘડિયાળ કાઢીને તારા મસમોટા ટેબલનાં ખાનામાં મૂકી દેતો હશે. ટેબલની ડાબી તરફની ખુરશી પર જ્યાં હું એકવાર બેઠી હતી, ત્યાંથી પસાર થતી વખતે એક નાનકડી ઠેસ વાગતી હશે અને તું એ ખુરશીનો આધાર લઈને ઊભો રહી જતો હશે. કોઈ અજાણી સુગંધ તને ઘેરી વળતી હશે અને તું એમાંથી બહાર નીકળવા હવાતિયાં મારતો હશે.

    એ સાંજ પછી તું દર મહિને એ જ તારીખે એ બગીચામાં જઈને એ જ બાંકડા પર બેસતો હશે.એ જ વૃક્ષ, એ જ સુગંધ અને એ જ વિષાદભર્યો અંધકાર તને ઘેરી વળતો હશે.તું ફરી એકવાર ભાંગી પડતો હશે અને થાકેલી ચાલે ઘરે આવતો હશે. લોથપોથ થઈને બેઠેલો જોઈ રસોડામાંથી પ્રશ્ન પૂછાતો હશે ‘કેમ થાકી ગયા? ક્યાંય દૂર ગયા હતા?’ અને તું મનોમન જવાબ આપતો હશે ‘હા…ઘણે દૂર ગયો હતો થાક તો લાગે ને’ બોલ્યા પછી તું વિચારતો હશે કે ‘જતી વખતે થાક ન લાગ્યો એનો અર્થ એ કે થાક તો પાછા વળ્યાનો છે.’

    તું તારીખોનો માણસ…તું આંકડાઓનો માણસ.તું હિસાબોનો માણસ…તું ગણતરીનો માણસ.તે મારી સાથેની એ તમામ ઘટનાઓ તારીખ-વાર-સમય સાથે મનનાં કોઈ ખૂણામાં સાચવી રાખી હશે ને! એટલે જ તો આપણા છુટા પડ્યાના દિવસે તે બીજું પણ ઘણું છોડી દીધું. ઘર છોડ્યું, નોકરી છોડી, શહેર છોડ્યું અને ન જાણે શું શું! સામાન બાંધતી વખતે તે એ શહેર સાથે જોડાયેલી તમામ યાદગીરીઓને ત્યાં જ રહેવા દીધી હશે ને! તે એ તમામ ક્ષણોને તારા પરથી ખંખેરી નાંખી હશે ને! જેમ અંતરિયાળ ગામડે ખુલ્લી જીપમાં જઈ આવ્યા પછી કોઈ પોતાના મોંઘાદાટ બ્લેઝર પરથી ધુળ ખંખેરે અદ્દલ એમ!

    રોજ સવારે તારા ફેસબૂક એકાઉન્ટમાં સૌથી પહેલાં તું મેમરીઝ જોતો હશે. એ વહી ગયેલા સમયને યાદ કરાવતી કેટલીયે પોસ્ટ તારી આંખ સામે તાંડવ કરવા લાગતી હશે.તું તારી પોસ્ટમાંથી મારી કોમેન્ટ શોધ્યા કરતો હશે અને એ સાથે જ કેટલું બધુ જડી આવતું હશે નહીં? હવે મારા જન્મદિવસે તને નોટિફિકેશન નહીં આવતું હોય ને તે છતાં તને એ તારીખ યાદ જ હશે.તું આગલા વર્ષે મોકલેલા ટેક્સ્ટ મેસેજને ફોરવર્ડ કરી દેતો હશે. તારે ઘણુ બધુ લખવું હોય પરંતુ શું લખી શકે? ક્યાં લખે? કેવી રીતે મારા સુધી પહોંચાડે? તે કેટલાયે મેઇલ મને સેન્ડ કર્યા વગર જ ડીલીટ કર્યા હશે. કેટકેટલી વાતો મારી સાથે શેર કરવા તું અધીરો થતો હશે અને એ વાતો અંતે ફેસબૂકની પબ્લિક પોસ્ટમાં મૂકીને મન મનાવી લેતો હશે. અને પછી એ પોસ્ટ પરની લાઇકમાં એક અંગુઠો મારા નામનો પણ શોધ્યા કરતો હશે.મારું પ્રોફાઇલ પિક્ચર જોઈ મનોમન કેટલીયે ટિપ્પણીઓ કરી નાંખતો હશે.’આ કલર સારો નથી લાગતો, આમ પોઝ ન અપાય, આવી જગ્યાએ જઈને ફોટો ન પડાવાય, આવું કેપ્શન ન મૂકાય’ વગેરે વગેરે. તું ફરી એક વખત મેં આપેલો પાસવર્ડ નાંખી મારું એકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કરી બેસતો હશે.તારા આશ્ચર્ય વચ્ચે એકાઉન્ટ ખુલી જતું હશે અને તું પરકાયા પ્રવેશ કરીને મારી ટાઇમલાઇનની સફરે નીકળી પડતો હશે. જેમ અત્યારે હું તારામાં પ્રવેશીને તારી સંવેદનાની સફરે નીકળી છું એમ જ!

    વરસાદી રાતોની ભેજભરી ઠંડક તને ડરાવતી હશે. એ કાળી ડિબાંગ રાતનાં હલ્લાથી બચવા તું કોઈ પુસ્તક હાથમાં લઈ એમાં ગળાડૂબ ખૂંપી જતો હશે. આસપાસ સૂતેલા દરેક ચહેરામાં તને મારો ચહેરો દેખાવા લાગતો હશે, પુસ્તકના દરેક અક્ષરમાં તને મારા અક્ષરો દેખાતા હશે.અને તું થાકીને ઘેનની દવા પીને સૂઇ જતો હશે. મારા ગયા પછી તે તારું આખું ટાઇમ ટેબલ જ બદલી કાઢ્યું હશે.’સમયના એકપણ ટુકડાને ખાલી નહીં પડવા દેવાનો. કારણકે આ ખાલીખમ્મ ટુકડાઓ જ જીવવા નથી દેતાં હોતાં.દરેક ક્ષણને કામથી ભરી દેવાની જેથી કોઈ યાદ આવી જ ન શકે.આ દુનિયામાં કેટલાં બધા કામ છે! કોઈનું સ્મરણ કંઈ એટલું બળુકું ન હોઈ શકે કે ભારેખમ ફાઈલોનાં થપ્પાને અતિક્રમીને આપણા સુધી પહોંચી શકે!’- આમ વિચારતો તું તારી જાતને કામનાં એવા કૂવામાં ધકેલી દેતો હશે જ્યાં મારા સ્મરણનું એક કિરણ સુદ્ધા ન પ્રવેશી શકે.તું જાણે છે કે આ ઉકેલ નથી માત્ર પલાયનવાદ જ છે. પાંસળીની સાવ નજીક રહેતી, દરેક શ્વાસમાં ધબકતી, આંખ બંધ થતાં જ દેખાવા લાગતી કોઈ વ્યક્તિને આમ ભૂલાવી દેવી શક્ય નથી.પરંતુ તારી પથરીલી મક્કમતા તારી વહારે ચડતી હશે અને એ અંધારિયા કૂવામાં તું ટકી જતો હશે.’કોઈ ચાલ્યું જાય તો અટકી પડેલાં કેટલાં બધા કામ થવા લાગે’ એમ જાતને આશ્વાસન આપી ગુમાવેલા સમયનો સરવાળો કરી બમણાં જોશથી એ ખોટને સરભર કરવા લાગી પડતો હોઈશ.

    તું એ રસ્તા પરથી રોજ પસાર થતો હોઈશ જ્યાં કોઈ કેસરિયો દુપટ્ટો લહેરાયો હતો, જ્યાં બેસીને મેંગો આઇસક્રીમ ખવાયો હતો, જ્યાંથી એક મધમીઠી શરુઆત થઈ હતી, જ્યાં કોઈ બળબળતી બપ્પોરે શીળી છાંય જેવો સંબંધ કોળાયો હતો.એ રસ્તા પર જતાં આવતાં આખી ‘સજનવા’ સિરિઝ રીપીટ મોડમાં ચાલતી હશે.કોઈ ગુલમોરની વચ્ચેથી મારું મોં દેખાઈ જતું હશે, કોઈ ગરમાળા પાછળથી હું દોડીને આવી જઈશ એવો આભાસ થતો હશે અને તું ડ્રાઈવરને ગાડી સ્પીડમાં ચલાવવાનો હુકમ આપી બેસતો હોઈશ.તારે ભાગી છૂટવું હશે એ રસ્તા પરથી અને તોયે એ જ રસ્તા પરથી પસાર થવું એ તારી નિયતિ હશે. જે રસ્તો સવાર-સાંજ તને મારી હાજરીનો અહેસાસ અપાવતો હશે, જે રસ્તા પર ક્યારેય ન જવાના સોગંદ લીધા હશે એ જ રસ્તો તારા નસીબમાં કોઈ છુંદણાંની જેમ ત્રોફાઈ ગયો છે. હવે તું કશું ન કરી શકે, ન ભાગી શકે કે ન રહી શકે.

    ***

          પ્રિય. હું જાણું છું આવું કશુંજ નહીં થયું હોય.આ દરેક ઘટના મારા મનની ઉપજ છે.પરંતુ આ એક એવો મલમ છે કે જે લગાડ્યા પછી જરા ઠંડક વળે છે બાકી હું જાણું છું કે આમાં ઘાવને રુઝવવાની કોઈ ઔષધી નથી.આ મારું પોતીકું આંગણું છે. મારું સાવ અંગત આ વિશ્વ છે. તારા સિવાય આ મનોઘટનાઓ કોણ સંવેદી શકે? એ ખબર છે કે આમાંનું કશું જ તારા સુધી પહોંચવાનું નથી અને તેમ છતાં લખતી રહીશ. માણસ માટે હળવા થવું ય જરુરી હોય છે ને!


    સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • કાવ્યાનુવાદ : Jodi Tor Dak Soone Keu Na Asse Tobe Ekla Cholo Re / તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!

    যদি তোর ডাক শুনে কেউ না আসে
    তবে একলা চলো রে
    যদি তোর ডাক শুনে কেউ না আসে
    তবে একলা চলো রে

    তবে একলা চলো, একলা চলো,
    একলা চলো, একলা চলো রে।
    যদি তোর ডাক শুনে কেউ না আসে
    তবে একলা চলো রে।

    যদি কেউ কথা না কয়,
    ওরে ওরে ও অভাগা
    কেউ কথা না কয়
    যদি সবাই থাকে মুখ

    ফিরায়ে সবাই করে ভয়,
    যদি সবাই থাকে মুখ
    ফিরায়ে সবাই করে ভয়,
    তবে পরান খুলে

    ও তুই মুখ ফুটে তোর
    মনের কথা একলা বলো রে,
    ও তুই মুখ ফুটে তোর
    মনের কথা একলা বলো রে,

    যদি তোর ডাক শুনে কেউ না আসে
    তবে একলা চলো রে
    যদি সবাই ফিরে যায়,
    ওরে ওরে ও অভাগা

    সবাই ফিরে যায়
    যদি গহন পথে যাবার
    কালে কেউ ফিরে না চায়,
    যদি গহন পথে যাবার কালে

    কেউ ফিরে না চায়
    তবে পথের কাঁটা
    ও তুই রক্তমাখা
    চরণতলে একলা দলো রে,

    ও তুই রক্তমাখা
    চরণতলে একলা দলো রে
    যদি তোর ডাক শুনে
    কেউ না আসে

    তবে একলা চলো রে।
    যদি আলো না ধরে,
    ওরে ওরে ও অভাগা
    আলো না ধরে

    যদি ঝড়-বাদলে আঁধার
    রাতে দুয়ার দেয় ঘরে,
    যদি ঝড়-বাদলে আঁধার
    রাতে দুয়ার দেয় ঘরে,

    তবে বজ্রানলে
    আপন বুকের পাঁজর জ্বালিয়ে
    নিয়ে একলা জ্বলো রে,
    আপন বুকের পাঁজর জ্বালিয়ে

    নিয়ে একলা জ্বলো রে
    যদি তোর ডাক শুনে
    কেউ না আসে
    তবে একলা চলো রে।

    Bengali phonemic transcription

    Jodi Tor Dak Soone Keu Na Asse
    Tobe Ekla Cholo re
    Ekla Cholo Ekla Cholo Ekla Cholore

    Jodi Keu Katha Na Kai Ore Ore O Abhaga
    Jodi Sabai Thake Mukh Firae Sabai Kare Bhay
    Tabe Paran Khule
    O Tui Mukh Fute Tor Maner Katha Ekla Bolo re

    Jodi Sabai Fire Jai Ore Ore O Abhaga
    Jodi Gahan Pathe Jabar Kale Keu Feere Na Chay
    Tobe Pather Kanta
    O Tui Rakta Makha Charan Tale Ekla Dolo re

    Jodi Alo Na Dhare Ore Ore O Abhaga
    Jodi Jharr Badale Andhar Rate Duar Deay Ghare
    Tobe Bajranale
    Apaan Buker Panjar Jaliey Nieye Ekla Jolo re

    English Translation of the Bengali original rendered by Rabindranath Tagore

    If they answer not to thy call walk alone.

    If they are afraid and cower mutely facing the wall,
    O thou unlucky one,
    open thy mind and speak out alone.

    If they turn away, and desert you when crossing the wilderness,
    O thou unlucky one,
    trample the thorns under thy tread,
    and along the blood-lined track travel alone.

    If they do not hold up the light when the night is troubled with storm,
    O thou unlucky one,
    with the thunder flame of pain ignite thy own heart
    and let it burn alone.

    અનુવાદ : મહાદેવ દેસાઈ

    તારી જો હાક સુણી કોઇ ના આવેતો એકલો જાને રે!
    એકલો જાનેએકલો જાનેએકલો જાને રે! – તારી જો …

    જો સૌનાં મોં સિવાય
    ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
    જયારે સૌએ બેસે મોં ફેરવીસૌએ ડરી જાય;
    ત્યારે હૈયું ખોલીઅરે તું મન મૂકી,
    તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …

    જો સૌએ પાછાં જાય,
    ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
    ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
    ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …

    જયારે દીવો ન ધરે કોઇ,
    ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
    જયારે ઘનઘેરી તુફાની રાતેબાર વાસે તને જોઇ;
    ત્યારે આભની વીજેતું સળગી જઇને
    સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …

    સૌજન્ય : ટહુકો.કૉમ 

  • શાળા કક્ષાએ વન નેશન, વન સિલેબસ શક્ય છે ?

    નિસબત

    ચંદુ મહેરિયા

    બંધારણના અનુચ્છેદ ૨૧ (ક) પ્રમાણે દેશના છ થી ચૌદ વરસના તમામ બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર મળેલો છે. પરંતુ સમાન શિક્ષણ બધા બાળકોને મળતું નથી. સરકારી,અનુદાનિત અને ખાનગી એવા શાળાઓના ભેદ છે, અંગ્રેજી અને માતૃભાષામાં શિક્ષણ એવા માધ્યમના ભેદ છે. એનસીઆરટીના પાઠ્યપુસ્તકો અને રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના પાઠ્યપુસ્તકો એવા પાઠ્યપુસ્તકોના ભેદ છે. શાળાંત પરીક્ષાના ભિન્ન ભિન્ન પરીક્ષા બોર્ડના પણ ભેદ છે. ટૂંકમાં શાળા, અભ્યાસક્રમ, માધ્યમ, પરીક્ષા બોર્ડ અને પરીક્ષા પધ્ધતિમાં ભારોભાર ભેદ પ્રવર્તે છે.

    સરકારી શાળાનું શિક્ષણ ઉતરતું અને ખાનગી શાળાનું ચડિયાતું મનાય છે.  સ્ટેટ એકઝામિનેશન બોર્ડની પરીક્ષા આપનારા શિક્ષણમાં નિમ્ન અને સેન્ટ્રલ, પ્રાઈવેટ કે ઈન્ટરનેશનલ એકઝામિનેશન બોર્ડની પરીક્ષા આપનારા ઉચ્ચ ગણાય છે. અંગ્રેજી માધ્યમમાં અપાતું શિક્ષણ  શ્રેષ્ઠ અને માતૃભાષામાં અપાતું શિક્ષણ નિમ્ન હોવાની છાપ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જોવા મળે છે.

    કદાચ હવે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સૌને માટે સુલભ થયું છે પણ સૌને એક સમાન ગુણવત્તાનું શિક્ષણ મળતું નથી. આ ભેદ નિવારવાનો  ઉપાય દેશના શાળેય શિક્ષણ મેળવતા તમામ બાળકો, પછી ભલે તે ગવર્નમેન્ટ, પ્રાઈવેટ, કોન્વેન્ટ સ્કૂલ, કે સરસ્વતી શિશુ મંદિરમાં ભણતા હોય, તેમનો અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો, પરીક્ષા બોર્ડ અને પરીક્ષા પ્રણાલી એક સમાન હોવા જોઈએ. જ્યારે દેશમાં ‘વન નેશન, વન રેશન કાર્ડ’, ‘વન નેશન, વન ટેક્સ’ અમલી હોય અને ‘વન નેશન, વન ઈલેકશન’, ‘વન નેશન, વન પોલીસ યુનિફોર્મ’, ‘વન નેશન, વન ગ્રીડ’  અને ‘વન નેશન, વન સિવિલ કોડ’ની ચર્ચા જોરશોરથી ચાલતી હોય ત્યારે ‘વન નેશન, વન સિલેબસ’ પણ મહત્વનો ચર્ચવા યોગ્ય મુદ્દો છે. બારમા ધોરણ પછીના ઉચ્ચ અભ્યાસ માટેની લગભગ બધી જ પ્રવેશ પરીક્ષાઓ અને સનદી સેવાઓની પરીક્ષાઓ સમગ્ર દેશમાં એક સમાન અભ્યાસક્રમની હોય ત્યારે તો આ મુદ્દો ઑર મહત્વનો બની રહે છે..

    વર્તમાનમાં દેશના પંચાણું ટકા વિદ્યાર્થીઓ રાજ્યોના પરીક્ષા બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષા આપે છે. જોકે બાકીના પાંચ ટકા સંપન્ન વર્ગના વિધાર્થીઓ  સેન્ટ્ર્લ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, (સીબીએસઈ) , ઈન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (આઈસીએસઈ) , ઈન્ટરનેશનલ બેકલારેટ(આઈબી), ઈન્ટરનેશનલ જનરલ સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (આઈજીસીએસઈ), કેમ્બ્રિજ એસેસમેન્ટ ઈન્ટરનેશનલ એજ્યુકેશન (સીઆઈઈઈ)ની પરીક્ષા આપે છે. રાજ્યોમાં માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષા બોર્ડ ઉપરાંત સંસ્કૃત બોર્ડ, ટેકનિકલ શિક્ષણ બોર્ડ, મદરેસા બોર્ડ અને ઓપન સ્કૂલિંગ એકઝામિનેશન બોર્ડ પણ કાર્યરત છે.

    રાજ્યોની સરકારી અને મોટાભાગની સરકાર અનુદાનિત શાળાઓનું શિક્ષણ સ્ટેટ એકઝામિનેશન બોર્ડની પરીક્ષા પ્રણાલી મુજબનું હોય છે. મુખ્યત્વે કેન્દ્ર સરકારના અધિકારી-કર્મચારીઓના બાળકો માટે સ્થાપિત અને હવે મોભા અને શ્રેષ્ઠતાનું પ્રતીક બની ગયેલી કેન્દ્રીય વિદ્યાલયો અને ઘણી બધી ખાનગી શાળાઓમાં સીબીએસઈની પરીક્ષા પ્રણાલી તથા એનસીઆરટીના પાઠ્યપુસ્તકો પ્રમાણેનો અભ્યાસ કરાવવામાં આવે છે. દેશભરમાં આશરે ૧૨૦૦ સેન્ટ્રલ સ્કૂલ્સ છે. મે-૨૦૨૨ની સ્થિતિએ દેશમાં ૨૭,૦૭૭ સીબીએસઈ શાળાઓ છે.દુનિયાના ૨૬ દેશોમાં  ૨૪૦ સીબીએસઈ સંલગ્ન શાળાઓ છે. માત્ર અંગ્રેજી માધ્યમના વિધ્યાર્થીઓ માટે આઈસીએસઈ છે. વધુ અભ્યાસ  માટે વિદેશ જનારા વિદ્યાર્થીઓ ઈન્ટરનેશનલ બોર્ડની પરીક્ષા આપે છે. એટલે પાંચ ટકા એલીટ વર્ગના બાળકો માટે અલગ શિક્ષણ છે અને બહુમતી ગરીબ, વંચિત, મધ્યમ વર્ગના બાળકો માટે અલગ શિક્ષણ છે.

    એટલે હવે સમાન શિક્ષણ અને સમાન પરીક્ષા પધ્ધતિની માંગ ઉઠી છે.  હાલમાં અમલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તમામ શાળાઓનું મૂળભૂત શિક્ષણ , અભ્યાસક્રમ તથા પરીક્ષા પ્રણાલી એકરૂપ અને સમાન રાખવાની જિકર છે. ૨૦૧૦માં તમિલનાડુ સરકારે યુનિફોર્મ એજ્યુકેશન એકટ ઘડ્યો હતો. અમેરિકા, જાપાન અને ચીનમાં સમાન શિક્ષણ મળે છે. મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારી શાળાઓમાં સીબીએસઈનો અભ્યાસક્રમ ચાલે છે. મધ્યપ્રદેશની મુખ્યમંત્રી રાઈઝ યોજના હેઠળ ૨૦૦૦ સરકારી શાળાઓને ઉત્કૃષ્ઠ બનાવાઈ રહી છે. નવોદય વિદ્યાલયો, એકલવ્ય શાળાઓ પણ આ જ પ્રકારની છે.

    ગયા વરસે બીજેપી સાંસદ ડો.વિનય સહસ્ત્રબુધ્ધેના વડપણ  હેઠળની શિક્ષણ મંત્રાલયની સ્થાયી સંયુક્ત સંસદીય સમિતિએ સરકારને ‘એક દેશ, એક અભ્યાસક્રમ’ ની ભલામણ કરી છે. ઓગસ્ટ ૨૦૨૧માં રાજ્યસભા તારાંકિત પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને  પણ આ વાત સ્વીકારી છે. ભાજપા નેતા અને ધારાશાસ્ત્રી અશ્વિની ઉપાધ્યાયે દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી દાદ માંગી છે. સમાન પરીક્ષા બોર્ડ અને સમાન અભ્યાસક્રમ માટેના ભારતીય શિક્ષણ બોર્ડની કમાન યોગગુરુ બાબા રામદેવને સોંપવાની પણ ચર્ચા છે. વારાસણીમાં મળેલી અખિલ ભારતીય સંત સમિતિની બેઠકમાં હિંદુ સંતોએ બાબા રામદેવનો  વિરોધ કર્યો છે. તેમના મતે રામદેવ વેદાંગોના વિરોધી હોઈ આ માટે લાયક નથી. સંતોની માંગણી છે કે સરકારે સંતોના પરામર્શમાં શિક્ષણવિદો અને વૈદિક પ્રતિનિધિઓનું પ્રતિનિધિત્વ ધરાવતું ભારતીય શિક્ષણ બોર્ડ બનાવવું જોઈએ! .આ હકીકતો પરથી પ્રતીત થાય છે કે સમાન અભ્યાસક્રમનો મુદ્દો ચર્ચાની એરણે છે.

    ૧૯૭૬ સુધી શિક્ષણ રાજ્યયાદીનો વિષય હતો. ૧૯૭૬ના બેતાળીસમા બંધારણ સુધારાથી તેને રાજ્યયાદીમાંથી હઠાવીને કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત યાદીમાં મુકવામાં આવ્યો છે. એટલે શિક્ષણ અંગેના નિર્ણયો કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને કરે છે. પરંતુ કેન્દ્રનો હાથ હસ્તક્ષેપની કક્ષાએ ઉપર રહે છે. કેન્દ્ર હસ્તકના સીબીએસઈ અને સેન્ટ્રલ સ્કૂલ્સનું,  અસમાન શિક્ષણ સર્જવામાં મોટું પ્રદાન છે. ‘ શિક્ષણના  ક્ષેત્રમાં સમાનતા અને ઉત્કૃષ્ઠતા માટે પ્રતિબધ્ધ’ના ધ્યેયને વરેલ સીબીએસઈ એ ઉત્કૃષ્ઠતા તો હાંસલ કરી છે પણ સમાનતાને બદલે અસમાનતા સર્જી છે !. તેનું શિક્ષણ ઉત્તમ અને રાજ્યોના બોર્ડનું શિક્ષણ કનિષ્ઠ મનાય છે. એટલે શિક્ષણમાં ભેદ કેન્દ્રએ જ ઉભો કર્યો છે. જોકે રાજ્યોના બોર્ડ સર્વવ્યાપી અને સમાવેશી એવું ગુણવતાયુક્ત શિક્ષણ પૂરું પાડવામાં મહદઅંશે ઉણા ઉતર્યા છે. શિક્ષણમાં ભેદની સમસ્યા કેન્દ્રે ઉભી કરી છે એટલે તેનો ઉપાય પણ તેણે જ કરવો પડશે. કેન્દ્ર સરકારે શિક્ષણના રાષ્ટ્રીય અને એકીકૃત સ્વરૂપને સુદ્રઢ કરવાની જવાબદારી  સ્વીકારી છે ત્યારે તો તેણે સમાન શિક્ષણ આપવું જ રહ્યું.

    આરંભે સમગ્ર દેશમાં શાળા કક્ષાએ એક સરખો અભ્યાસક્રમ અને એક સરખી પરીક્ષાપ્રણાલી અમલી બનાવવાથી શિક્ષણમાં રહેલા ભેદ અને અસમાનતા ઘટશે , શિક્ષણ વધુ સુદ્રઢ બનશે. સરવાળે તે લાભપ્રદ નીવડશે. પાઠ્યપુસ્તકોમાં જે રાજનીતિનો રંગ જોવા મળે છે અને રાજ્યે રાજ્યે અલગ હોય છે તે ઓછો થશે. તમામ વિધ્યાર્થીઓ માટે સગવડદાયી, સાર્વભૌમિક અને  સર્વસમાવેશી શિક્ષણ શક્ય બનશે. ડો.રામ મનોહર લોહિયાનું “રાણી હો યા મહેતરાણી સબ કે બચ્ચોં કો એક હી શિક્ષા” નું સ્વપ્ન સાકાર થશે.

    પણ શું એક દેશ, એક અભ્યાસક્રમ શક્ય છે ? જો કેન્દ્રની સેન્ટ્રલ સ્કૂલ્સ અને તેની માન્યતાપ્રાપ્ત શાળાઓ આખા દેશમાં ફેલાયેલી હોય અને તેનો એક સમાન અભ્યાસક્રમ, પાઠયપુસ્તકો અને પરીક્ષા હોય તો તેને આખા દેશમાં કેમ વિસ્તારી ન શકાય ? તેનાથી બંધારણદીધા સમાનતા, સમાન તકના અધિકારો ફળીભૂત થશે. જો તેનો તાકીદે આરંભ કરવામાં આવે તો થોડા વરસોમાં તેનું દેશવ્યાપી સ્વરૂપ અશક્ય નથી.  શિક્ષણના ખાનગીકરણ અને ખાનગી શાળાઓની બોલબાલાને પણ તેનાથી નાથી શકાશે. શરૂઆતમાં પ્રાદેશિકતા અને સ્થાનીયતાની અવહેલના થતી લાગશે પણ ખરી .પ્રાદેશિક વિવિધતાનો કદાચ ભોગ પણ લેવાશે .આટલા વિશાળ દેશમાં કેન્દ્રીકરણની ફરિયાદ પણ ઉઠશે. પરંતુ જીએસટી અને રેશનકાર્ડનો અનુભવ પણ આપણી સામે છે. જીએસટી કાઉન્સિલ જેવું જ  નેશનલ એજ્યુકેશન બોર્ડ રચાય અને તે કશા ભેદભાવ વિના સુચારુ રીતે કામ કરી શકે તો સમાન શિક્ષણની દિશામાં પગરણ માંડવા અઘરા નથી.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઊભરો

    અવલોકન

     – સુરેશ જાની

    તે દિવસે ચા બનાવતો હતો. મનમાં થયું , ‘ચાલ, આજે ઊભરાનું બારીકાઈથી અવલોકન કરું.’ બની રહેલી ચાની સપાટી પર થોડીક ગતિ દેખાતી હતી. ચાની એકાદ પાંદડી આમથી તેમ સરી રહી હતી. કોઈક પરપોટો સપાટી પરથી ઉપસી આવતો હતો. મનમાં એમ થતું હતું કે, ‘હમણાં ઊભરો આવવો જોઈએ.’ પણ એ એમ ક્યાં હાથવગો હોય છે?

                 સાંદર્ભિક તસવીર – નેટ પરથી

    ધીરે ધીરે પરપોટા વધવા માંડ્યા. ત્યાં જ એકાએક, ન જાણે ક્યાંથી, એકદમ તે ચઢી આવ્યો. સમસ્ત સપાટી એક તીવ્ર આંદોલનથી ભરાઈ ગઈ. ખળભળાટ મચી ગયો. મને અંધારામાં રાખીને! ઉભરો આવી ગયો હતો! બધી વરાળ એકસામટી બહાર આવવા મથી રહી હતી, અને સાથે આખી સપાટીને પણ ઉપર તરફ પ્રવેગિત કરી રહી હતી. બધું ઉપરતળે થઈ રહ્યું હતું. ચાની તપેલીમાં એક વિપ્લવે જન્મ લઈ લીધો હતો.

    કેટકેટલી જાતના ઊભરા જીવનમાં આવતા હોય છે?

    મનના કો’ક ખૂણે, ક્યાંક કોઈક ગમો કે અણગમો આકાર લઈ રહ્યો હોય, વિવેકે તેને દબાવી રાખ્યો હોય. પણ કો’ક ક્ષણે વિવેકની એ પાળ તૂટી જાય, અને બધો આક્રોશ, બધો અણગમો ક્રોધ બનીને ઉભરાઈ આવે. દબાવી રાખેલો ઓલ્યો ગમો અટ્ટહાસ્યમાં પરિવર્તન પામે.

    કોઈ પ્રિય વ્યક્તિની આપણે બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોઈએ – તે હમણાં આવશે; હમણાં તેની ટ્રેન આવશે. છેવટે તે આવી પહોંચે, અને પ્રેમ ઊભરાઈ આવે.

    આપણી કો’ક પ્રિય વ્યક્તિનું અકસ્માત મૃત્યુ થયાના સમાચાર આવે. મન હતપ્રભ બની જાય. ગળે ડૂમો ભરાઈ જાય. છાતી પર મણ મણના ભાર ઠલવાઈ જાય. અને ત્યાં કોઈ આપણને પૂછે, ‘કેમ શું થયું?’ અને બધો શોક આંખોના આંસુઓ વતી ઊભરાઈ આવે.

    જાદુનો ખેલ જોવા ગયા હોઈએ, અને જાદુગર આપણને અંધારામાં રાખીને, ઘડીના છઠ્ઠા ભાગમાં અદ્રશ્ય થઈ જાય. આપણે આશ્ચર્યના ઊભરામાં ગરકાવ થઈ જઈએ.

    મનમાં કોઈક ભાવ જાગ્યો હોય, ચિત્ત અભિવ્યક્તિ કરવા મથામણ કરતું હોય, અને કો’ક વિચારનો ઊભરો ઊમટી આવે. કો’ક કવિતા સરજાઈ જાય.

    કોઈ રાજકીય કે ધાર્મિક નેતા પોતાના વક્તૃત્વના પ્રવાહમાં લોકોને મંત્રમુગ્ધ કરી કોઈ એક મનોવૈજ્ઞાનિક ક્ષણે એવો નારો લગાવવાનું એલાન આપે; જે સાંભળતાં જ સમગ્ર મેદની એકી અવાજે તે આદેશનું પાલન કરે. અને એક આંધી સરજાઈ જાય; લોહીની નદીઓ વહેવા માંડે; આગ અને લૂંટનાં તાંડવો રચાઈ જાય. આ ટોળાંનો ઊભરો.

    પોતાના બાળકને ય એક તમાચો મારવાનું ન વિચારનાર માણસ ટોળામાં કોઈ દુકાનના કાચની ઉપર પથ્થર ફેંકી દે તેવો ટોળાંશાહીના પાગલપનનોય ઊભરો.

    કોઈ કલાકાર કર્ણપ્રિય બંદિશમાં કોઈ રચના રજુ કરતો હોય; અને તેની ચરમસીમા આવતાં સુકોમળ રીતે તેની સમાપના કરે; અને શ્રોતાઓ એકી અવાજે તાળીઓના ગડગડાટથી તેને વધાવી લે – તે રસ-સમાધિનો પણ ઊભરો.

    અમેરિકાના પ્રમુખની ઓફિસમાં બહુ જ સંરક્ષણ વાળી સ્વીચો છે. અમેરિકન કોંગ્રેસની અનુમતિ મળી હોય અને પ્રમુખ એમાંની સ્વીચો દબાવે તો છેવટના ઉપાય તરીકે, ન્યુક્લીયર શસ્ત્રો લઈ જતી આંતરખંડીય મિસાઈલો કાર્યરત થાય અને થોડા સમય બાદ શત્રુ પ્રદેશ ઉપર સેકંડોમાં અભૂતપૂર્વ તારાજી સર્જાઈ જાય.

    નિબિડ અંધકાર અને કેવળ સ્થૂળ જડતામાં રમમાણ ‘શૂન્ય’માં, સર્જનની આદિમ પળે કો’ક પ્રચંડ વિસ્ફોટ ઊભરે ( બીગબેન્ગ) ; અને તેના ખર્વાતિખર્વ અણુબોંબોથીય વધુ શક્તિશાળી તાંડવમાં બ્રહ્માંડ ઊભરતું રહે, ફેલાતું રહે, કરોડો મહાસૂર્યો સર્જાતા રહે; તે પણ એક અનંતનો ઊભરો જ ને?

    ઊભરા સાથે આપણા કેટકેટલી જાતના સંબંધ હોય છે? કેવા કેવા ઊભરા અજાણતાં ઊભરાઈ જતા હોય છે? પણ દરેક ઊભરાની પાછળ કોઈક પ્રક્રિયા, કશીક પૂર્વભૂમિકા અજ્ઞાત રીતે કામ કરતી હોય છે. એ ગોપિત સ્વીચ કે ઉત્તેજના ક્યાંક, ક્યારેક, અનેક સંજોગો એકત્રિત થતાં ઊભરાઈ આવે અને બધી સામાન્યતાને બાજુએ ધકેલી દઈ એક પ્રચંડ ઊભરો, એક વિપ્લવ, એક પ્રભંજન, એક ધડાકો, એક અકલ્પનીય ઘટના ઊભરાઈ આવે.

    ઊભરા વિનાનું જીવન હોઈ શકે? ગીતાના પેલા સ્થિતપ્રજ્ઞને ઊભરા આવતા હશે? રાગ અને દ્વેશથી પર, સુખ અને દુઃખથી પર, ક્રિયા અને પ્રતિક્રિથી પર થવાતું હશે? તપોભંગ ૠષિઓની વાતો ક્યાં અજાણી છે?

    શૂન્યનો ઊભરો, સર્જનનો આવેગ જ એને ન થયો હોત તો?

    પણ ઊભરા તો થવાના જ. ઊભરાનું કાંઈ કહેવાય નહીં. ઊભરાનુંય એક અનિશ્ચિત હોવાપણું હોય છે.

    ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.’


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સદીઓથી હાંસીયામાં રહેલા માહ્યાવંશીઓના રાહબર ભૂપેન્દ્ર સુરતી-( ભાગ ૧)

    લ્યોઆ ચીંધી આંગળી

    રજનીકુમાર પંડ્યા

    “હલો…હલો…હલો…”ફોનને એક કાને લગાવીને ભૂપેન્દ્ર સુરતી માત્ર બોલતા જ નહોતા, બલકે બૂમ જ પાડતા હતા. વરસાદનો શોર જ એવો હતો ! ત્યાં તો વીજળીનો જોરદાર કડાકો થયો. એમણે બીજા કાનમાં આંગળી ખોસી દીધી. ફરી મોટા અવાજે બોલ્યા, “હેલો..”

    આજે પાંચ પાંચ દિવસ થયે ગુજરાત અને તેમાંય નવસારી જિલ્લાને ધમરોળતા આવા વરસાદમાં આવતો ફોન આનંદમંગલના સમાચાર માટેનો તો ન જ હોય. રસોડામાંથી સરોજબહેને પણ આ “હલો..”.ની ત્રાડ જેવી બૂમ સાંભળતાં જ ચાનું વાસણ બાજુ પર મૂકી દીધું. દોડી આવ્યાં, “કોનો ફોન છે?” કહેતાં આવીને ઊભાં રહ્યાં. અને ‘હા’, ‘શું?’, ‘ક્યાં?’, ‘કોણ?’, ‘ઠેકાણું?’, ‘ઠીક છે’ જેવા ભૂપેન્દ્રભાઇના ત્રુટક ત્રુટક શબ્દો એમને કાને પડ્યાં. ત્યાં તો ભૂપેન્દ્રભાઇ છેલ્લું ટૂંકું વાક્ય બોલ્યા, “તમે બિલકુલ ચિંતા ન કરશો.”ને ફોન મૂકી દીધો.

    પણ, ચિંતા કોને ન થાય? પાંચ-પાંચ દિવસથી આખા નવસારી પંથકને વરસાદ સતત ધમરોળી રહ્યો હતો, ને આજે ૧૪ જૂલાઇ ૨૦૨૨ની સાંજે પણ તેનો માર ઓછો નહોતો થયો. વરસાદનાં પાણીએ ગામ ને પાદરનો ભેદ ભૂલાવ્યો હતો. નદીઓએ ગાંડીતૂર બની કાંઠા ભાંગ્યા હતા. ગણદેવી તાલુકાના દેવધા, ઘમડાછા, સરીખુરદ, કલમઠા, ઉડાચ, વાધરેચ જેવાં અનેક ગામોમાં પહેલાં રોડ પર ને હવે લોકોનાં ઘરોમાં ત્રણ ત્રણ ચાર ચાર ફીટ જેટલા પાણી ભરાયાં હતાં. નદીને બદલે ગામના રસ્તાઓ પર હોડીઓ ફરતી થઇ ગઇ હતી. ને તેમાં આ ફોન…..

    “મારે તાત્કાલિક વાધરેચ જવું પડશે.”ફોન મુકતાં જ ભૂપેન્દ્રભાઇ બોલ્યા.

    “પણ, આવા વરસાદમાં?” ચિંતિત અવાજે સરોજબહેન બોલ્યાં, પણ મનમાં કશોક વિચાર ફરક્યો. કહ્યું, “ ચાલો, હુંય આવું છું.”

    ત્યાં તો હાથમાં ગાડીની ચાવી લઇને પુત્રવધૂ સપના પણ આવી ગયાં. થોડી જ સેકંડોમાં પાણીની છોળો ઉડાડતી ગાડી વાઘરેચના રસ્તે દોડતી થઇ ગઇ. તવારીખ બોલતી હતી કે વલસાડ, નવસારી જિલ્લામાં આવી રેલ છેલ્લે ૧૯૬૮માં આવી હતી, તે પછી ચોપન વર્ષે છેક આજે !

    ભૂપેન્દ્રભાઇને ફોન શા માટે?

    હા, એનું કારણ એ કે એમણે જ પોતાના ફોન નંબર – +91 9898 873446; અને +91 93770 33446 ને સમાજ માટે 24 X 7 હેલ્પલાઇનની જેમ જાહેર કરી રાખ્યા હતા. આ વિસ્તારની વસતિને  અડધી રાતેય કામ પડે તો પોતાને હાકલ કરવાની હૈયાધારણ આપી રાખી હતી. તેવી હાકલના આજના જવાબમાં ફોનમાં સામે છેડે ચીખલી તાલુકાના કૂકેરી ગામના છબીલભાઇ હતા. ભૂપેન્દ્રભાઇને ફોન જોડ્યો. એમણે એમનો હોંકારો મળતાં જ લાગલું જ કહેવા માંડ્યું હતું કે ‘ભૂપેન્દ્રભાઇ, વાઘરેચમાં મારાં એંસી વરસના સાસુ ઘરમાં બરાબરનાં ફસાઇ ગયાં છે. લકવાગ્રસ્ત છે. ચાલવાનું તો ઠીક,  પથારીમાં બેઠાં પણ થવાતું નથી ને પાણી તો એમનાં ખાટલે પહોંચ્યા છે. એક કેર-ટેકર બહેન પણ તેમની સાથે છે. તમે કંઈક કરો.’

    (એક વૃદ્ધાને સહાય કરી રહેલા ભૂપેન્‍દ્ર સુરતી)

    “તમે જરાય ફિકર ના કરતા, થોડી વાર જાળવી જાઓ. હું આવું છું.” આ શબ્દોએ સામે કેવી અને કેટલી ધીરજ બંધાવી હશે એ આપણે જાણતા નથી. પણ બહુ જલ્દી એ શબ્દો સાચા પડ્યા. વાધરેચ ગામના પાદરે જ પાણી સામા મળ્યા અને પછી તો ચારે બાજુ ત્રણ ત્રણ ચાર ચાર ફીટ પાણી જ પાણી ! અજાણ્યા સ્થળે પાણીમાં પગ નાખવામાં ખુદને પણ જોખમ હતું પણ, ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને મિત્ર એવા ડૉ.સનમ પટેલે હોડીની જોગવાઇ  કરી, બે તરવૈયાને મોકલી આપ્યા. આથી કામ કંઇક આસાન થયું. બતાવેલા ઠેકાણે પહોંચ્યા. તો જોયું તો છબીલભાઇનાં સાસુ સુખીબેન છીબાભાઈ રાઠોડ પાણીથી લથબથ !  બિચારાં સખત ધ્રુજતાં હતાં. તેમનાથી એક ડગલુંય ચાલી શકાય તેમ તો હતું નહિ. આથી એમને હળવેથી બે હાથે ઉંચકી લીધાં, કેરટેકર અંબાબહેનને પણ હોડીમાં સાથે લીધાં. પછી ઝડપથી ગાડીમાં બેસાડીને બીલીમોરાની મેંગુષી હોસ્પિટલ તરફ ગાડી મારી મૂકી. એટલી વારમાં સરોજબહેને માજીનાં ભીનાં કપડાં બદલાવી દીધા, વિક્સ-બામ લગાવી આપી અને ગરમ ચાની સાથે હુંફાળો સધિયારો પણ આપ્યો. ઇસ્પિતાલમાં ત્વરિત સારવાર શરૂ થઇ. દાક્તરની સૂચના મુજબ નર્સે દવાનાં ઇંજેક્શન, ગ્લુકોઝની બોટલ, લોહીની બોટલની વ્યવસ્થા કરીને એ માજીને ચડાવ્યાં. ભૂપેન્દ્રભાઇની સિકલ પરનો તણાવ આ જોઇને ઓસરવા મંડ્યો.

    “ચાલો, હવે ચા થઇ જાય !”બોલતાં બોલતાં અત્યાર સુધીની તંગ સિકલ પર સ્મિત તરી આવ્યું.

    **** **** ****

    ભૂપેન્દ્રભાઇનો જન્મ ૨૧ એપ્રિલ, ૧૯૬૫. માતા શારદાબેન તથા પિતા છોટુભાઇ ભાણાભાઇ સુરતી. કુટુંબમાં એક ભાઇ પ્રદિપ અને બહેન ઉષા. ૯ ડિસેમ્બર ૧૯૯૦માં સરોજબેન સાથે તેમનાં લગ્ન. હાલ, તેમના કુટુંબમાં પુત્રો ઝુબીન અને ઑટોમોબાઇલ એન્જીનીયર પુત્ર હેરી તેમજ પુત્રવધૂ સપના છે, જે કમ્પ્યુટર એન્જીનીયર છે. મોટો પુત્ર ઝુબીન નેશનલ લેવલે ચેસ બોક્સિંગ ચેમ્પિયન છે અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે રશિયા સામે સિલ્વરનો ચંદ્રક મેળવી ભારતનું નામ રોશન કર્યું છે. વધુ જાણકારી એ કે ભૂપેન્દ્રભાઇ અભ્યાસે મિકેનિકલ ડ્રાફ્ટસમેન, પણ વિવિધ વ્યવસાયો પર પણ હાથ અજમાવી ચૂકેલા. જેમ કે, ૧૯૮૭માં લક્ષ્મી એન્જીનિયરિંગ વર્કસ નામે સ્વતંત્ર કારખાનું શરૂ કર્યું તે ૧૯૯૭ સુધી ચલાવ્યું. ૧૯૯૮ થી ૨૦૦૨ દરમ્યાન એફ.એમ.સી.જી. પ્રોડક્ટસના એરીયા ડિસ્ટ્રીબ્યુટર તરીકે ટાટા ટી એન્ડ ટાટા કેમીકલ્સ, ન્યુટ્રીન ચોકલેટ, અથાણાં, પાપડ, જનતા વેફર્સ વિગેરેનું વેચાણ કર્યું. ૨૦૦૩ થી ૨૦૦૫ રેડીમેઇડ ગારમેન્ટની શોપ (ધી કોટન લાઇન ડોટ કોમ) પણ કરી. ૨૦૦૬થી પ્રોપર્ટી ડીલર તરીકે જમીન-મકાનની લે-વેચ અને દસ્તાવેજ લખી આપવાનું કામ લક્ષ્મી પ્રોપર્ટી ડીલરના નામે ૨૦૧૩થી સુધી સંભાળે છે.

    (ભૂપેન્‍દ્ર સુરતી)

    પણ પછાત ગણાતા અને મોટા ભાગના ઉજળીયાત વર્ગ દ્વારા ઉવેખાયેલા પોતાના આ માહ્યાવંશી સમાજ કહેતા બહોળા સમુદાયની સેવાની આ લગની ?  એના મૂળ ક્યાં અને ક્યાં ?

    એના જવાબમાં એ તથ્ય છે કે વીતેલી સદીઓમાં આ માહ્યાવંશી સમાજે ઘણું સહન કરવાનો વખત આવ્યો હતો. એના કારણોમાં ઓછા ભણતર, ઉચ્ચ ગણાતા વર્ગની એમના તરફની ઉપેક્ષા અને અવગણનાથી માંડીને અનેક પરિબળો નીકળે. પણ એ આખો સામાજિક ચિંતનનો વિષય છે. પણ આ વિપરિત પરિબળોની કારણે એ લોકો સમય સાથે કદમ ન મિલાવી શક્યા. એમની આગવી ઓળખ પણ ભૂંસાવા માંડી અને એ રીતે એ લોકો ઘણા પછાત રહી ગયા. ભણતરનો અભાવ પણ નડી ગયો.

    જો કે, એમના થોડા સજાગ અને સભાન વડવાઓએ ઘણી મહેનત કરી હતી. પોતાની  અસલી ઓળખ પાછી મેળવવા અને મહેનત કરીને સરકારી ચોપડે એ ઓળખ પાછી મેળવી પણ ખરી, પણ એ દરમિયાન તો સમયનાં ઘણાં પાણી વહી ગયાં હતાં. માહ્યાવંશી  સમાજને તો જે નુકસાન થવાનું હતું એ થઇ ચૂક્યું હતું. જો કે, માહ્યાવંશી સમાજ આઝાદી પહેલાના કાળે બહુ ગરીબીમાં જીવતો હતો.

    શું નુકશાન થયું હતું ? એની તો લાંબી યાદી બને, પણ થોડા મુદ્દા જોઇએ :

    ‘ભણતરનો અભાવ’ અને ‘ઉચ્ચ’ ગણાતા વર્ણો વચ્ચે અનુભવાતી લઘુતાગ્રંથી એટલે કે પોતાની નાનમનો સતત અને એક ગ્રંથીરૂપે ઘર કરી ગયેલો અહેસાસ. અને એ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે કે લઘુતાગ્રંથીમાંથી મુક્તિ મેળવવા માણસ પોતાના નશાનો અને નશા જેવા મનને છેતરનારા ઉપાયોનો આશરો લે. આવા માનસિક કારણે સમાજમાં થોડી બદીઓ પણ ઘૂસી, કેટલાંય ધીરે ધીરે દારુજુગારના રવાડે ચડતા ગયા અને એના બંધાણી પણ થવા મંડ્યા. અને પરિણામે નાણાંની બરબાદીના માર્ગે ગયા. આઝાદી મળ્યા પછી શિક્ષણને લીધે સમાજની પરિસ્થિતી સુધરી. આજે હવે એવી સ્થિતી છે કે ભૂપેન્દ્રભાઇ પોતે પોતે માહ્યાવંશી હોવાનું ગૌરવ અનુભવે છે. હવે આજે મુંબઇ તો નજીકની વાત થઇ પણ, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા,ઓસ્ટ્રેલીઆ કે એવો કોઇ દેશ નથી કે જ્યાં ઉચ્ચ અભ્યાસ કરીને, માહ્યાવંશી જઇને વસ્યો ન હોય.

    ભૂપેન્દ્રભાઇ જ્યારે માત્ર વીસ વરસની ઉંમરના હતા ત્યારે એ ઉગતી જુવાનીમાં પણ એમને થતું કે શું કરીએ તો એક વખતના રાજપૂતી સ્વાભિમાનના નમૂના જેવા સમાજને ફરી એ આત્મગૌરવ ફરી હાંસલ થાય ? જો કે, એટલું તો એમને એ ઉંમરે પણ સમજાતું હતું કે સમાજ ઉપરથી થાગડથીગડ કરીને નહીં, પણ ધરમૂળથી બદલવો પડે. એના એકે એક જણમાં સાચી સમજણ પેદા કરવી પડે અને એને દેશની મુખ્ય જાગૃત ધારા સાથે જોડવો પડે અને એમ કરવા માટે માત્ર તેને ઉપદેશ દેવાથી કામ નહીં ચાલે, પણ તેના ચિત્તમાં ઊંડા ઊતરીને તેને પડતી તકલીફોનું નિદાન અને ઇલાજ બન્ને કરવા પડે. એમને વાંચતા, સમજતા અને પછી સક્રિય થતા કરવા પડે. સરકારની કેટલીય યોજનાઓની જાહેરાતો છાપાંઓ અને ચોપાનીયાઓ, અરે સિનેમાઘરોના હરેક શોમાં પણ થતી હશે, પણ તેનો લાભ લેવા માટે પહેલાં તો એને વાંચવી જોઇએ. એ માટે અક્ષરજ્ઞાન તો હોવું જ જોઇએ અને એ હોય તોય વાંચી શકાય અને પછી જો જરા જાગરુકતા પ્રગટી હોય તો એને સમજતાં પણ આવડે. એ આવડે તો કઇ યોજના ક્યારે અને કઇ શરતોએ લાગુ પડે તેની ગમ પડે. પણ એટલી ગમ પડ્યા પછી પણ એનો ફાયદો ઉઠાવવો એટલો સરળ નથી હોતો કે બે ફોર્મ ભર્યાં, બે પુરાવા આપ્યા અને સહી- અંગૂઠો કર્યા એટલે પતી જાય. એ પછી પણ તેને માટે મથવું પડે.

    તો ખરી આપદા અહીં હતી. માહ્યાવંશી સમાજના મોટા ભાગના લોકો ગામડામાં રહેનારાઓ. વળી  શિક્ષિત તો બહુ ઓછા જ. કેટલાંય અશિક્ષિત કે અર્ધશિક્ષિત હોય પણ  એ સરકારી યોજનાઓ અને તેની કાર્યપદ્ધતિથી અજાણ હોય. કોઇ પણ સરકારી સહાય માટેના જરૂરી દાખલાઓ કઢાવવા એકથી બીજી સરકારી કચેરીએ દોડાદોડી કરવી પડે. એમાંય વળી આ ફોર્મ ને પેલા ફોર્મની ભરામણીમાં ભલભલાને ગોટે ચડાવવામાં સરકારી બાબુઓને કોણ પહોંચે? આ બધી મુશ્કેલીઓનો હલ તો જ આવી શકે જો પ્રજા એ બધા કોઠા વીંધતા શીખી જાય. એ કામ માત્ર અને માત્ર કેળવણી અને જાગરુકતા જ કરી શકે અને આ માહ્યાવંશી સમાજને કનડતો મોટો પ્રશ્ન એ પણ હતો કે વાલીઓને પોતાનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ અપાવવા માટે પણ સમજાવતાં નાકે દમ આવી જતો હતો.

    ભૂપેન્દ્રભાઇની વિચારણા વાતો તદ્દન સાદી, છતાં જમીની હકીકતો ધરાવતી હતી. તર્કબદ્ધ હતી. અને ખાસ તો તેમના આવી સેવા માટેના રઝળપાટના નિચોડ જેવી હતી . બેશક, એ આ બધું કરતા કરતા ક્યારેક થાકી જતા હતા પણ હિંમત નહોતા હારી જતા. પાંચમાં પૂછાવાનો એમને કોઇ ધખારો નહોતો, પણ એમને માત્ર આત્મસંતોષ જોઇતો હતો, જે મેળવતાં મેળવતાં તેમને અનેક અડચણોનો મુકાબલો કરવો પડતો હતો પણ..

    એ બોલ્યા, “ વિમાન ઉડાન ભરવા તૈયાર હોય, આકાશમાં મજલ કાપવાની વાત તો પછી આવે પણ રન-વે પર જ અવરોધો હોય એનું શું કરવું?”

    એ અવરોધો એમણે જાતે જોયા, પારખ્યા અને પછી એને હટાવી દેવા માટે કમર કસી. એમના શબ્દોમાં વિશ્વાસ છલકાયો. એ બોલ્યા :“મારી પ્રાયોરીટી એ અવરોધો દૂર કરવાની હતી અને હજુ પણ છે. એટલે મેં એવાં કામો પહેલાં ઉપાડ્યાં કે જે અમારા સમાજની લગભગ રોજીંદી કહેવાય એવી સમસ્યાનો એક હિસ્સો હોય.”

    એવાં કામો ઘણાં હતાં જે સામાન્ય લાગતાં હતાં પણ જે  સમાજના સામાન્ય માણસોને રોજે રોજ અસામાન્ય હાલાકીનો અનુભવ કરાવતાં હતાં. જે કરવાં અનિવાર્ય હતાં પણ અઘરાં હતા અને આમ આદમી તો પાર પાડવાની જહેમત ઉઠાવવાને બદલે એ કામ જ પડતું મુકી દેવાનું વધારે પસંદ કરે તેવાં હતાં.

    ક્યાં કયાં હતાં એવાં કામો ? એક-બે નહીં, અનેક હતાં. સરકારી ઓફીસોમાંથી જાતિના દાખલા કઢાવવા, સ્કૂલ- કોલેજમાં એડમિશન મેળવવા, વિધવા પેન્શનની અટપટી વિધીઓ, પોલિસ સ્ટેશનમાં સહાય, સરકારી આવાસ યોજનાની અરજીઓ વગેરે વગેરે… આવાં આવાં કામકાજોમાં અટવાતા લોકોને ભૂપેન્દ્રભાઇ યોગ્ય માર્ગદર્શન જ નહીં, મદદ પણ આપવા લાગ્યા. પોતાનું ઘર જેમાંથી ચાલે છે એ વ્યવસાયમાં આપવા પડતા સમયમાં એનાથી કાપ પડવા માંડ્યો પણ  ભૂપેન્દ્રભાઇ એને ગણકાર્યા વગર આવા ખરા પરોપકારમાં પોતાના સમય, શક્તિ ,વગ અને દ્રવ્ય બધું જ ખર્ચવા માંડ્યા. આનો અંત જ નહોતો, પણ એમને આવા સેવાકાર્યમાંથી છૂટકારો જોઇતો પણ નહોતો. એ જેમને પોતાનો એક અંશ ગણતા હતા એ માહ્યાવંશી સમાજની રોજીંદી સમસ્યાઓનું જાળું એટલું જટિલ હતું છે કે ઉકેલનાર ખુદ તેમાં ભેરવાઇ પડે. એ જાણવા છતાં કોઇ અંદરના ધક્કે ભૂપેન્દ્રભાઇએ સાવ પ્રાથમિક કાર્યોથી માંડીને ટોચનાં કાર્યો હાથ ધરીને લોકોની સમસ્યાઓ ઉકેલવાની દિશામાં પ્રયત્નોનો વ્યાપ પણ વધાર્યો. સમયની સાથે તેમણે સમાજોત્થાનનાં બીજાં કાર્યોને પણ આવરી લીધા.

    આ શરુઆત કરી ત્યારે ભૂપેન્દ્રભાઇની ઉંમર કાચી હતી, પણ વિચારોમાં પરિપકવતાનો પૂરો સ્પર્શ હતો, કારણ કે એએમના લોહીમાં જ હતું. એમના પિતા છેલ્લા છ દાયકાથી સમાજસેવા ક્ષેત્રે સક્રિય હતા, જ્યારે બા શારદાબેન તો છેક 1971થી 1976 સુધી ગ્રામ પંચાયતના સભ્ય રહી ચૂક્યાં હતાં. લોકો પોતાનાં બાળકોને ઓસડિયાં પીવડાવે ત્યારે એમના માતા-પિતાએ એમને આ ગળથૂથી પીવડાવી હશે. એમની પચ્ચીસની ઉંમરે એણે એનો પહેલો ચમકારો બતાવ્યો. એ ઉંમરે પણ પોતાના કોઇ હક માટે તેઓ ગ્રામપંચાયતની સામે થયા હતા. ગામના દરેક મહોલ્લામાં અજવાળા માટે ગ્રામ પંચાયતની વ્યવસ્થા હતી, પણ એમનો મહોલ્લો અંધારો રહેતો હતો. એ મહોલ્લામાં મોટા ભાગે બધા માહ્યાવંશી સમાજના લોકો જ હતા, જેમને પોતાના હક કે ફરજ વિશે કોઇ સભાનતા જ નહોતી અને સભાનતા ન હોય એવા લોકો તો જે હોય તેને જ સ્વર્ગની બરોબરીનું માને. એટલે વધુ કંઇ માટે લડત ચલાવવાની વાત તો પછી આવે,પણ માંગ કરવાની વૃત્તિ પણ જાગેલી ન હોય. જન્મથી જ અજવાળા વગર, બત્તી વગર રહેલા અંધારામાં રહેવા શીખી જાય. આ કિસ્સામાં પણ એમ જ હતું. બધા ટેવાઇ ગયેલા. પણ એવી સામાન્ય ધોરણે પ્રવર્તતી માનસિકતા વચ્ચે પણ ભૂપેન્દ્રભાઇના મનમાં આ કાયમી અંધારાં ખૂંચ્યાં અને  એમણે પંચાયતની કચેરી પાસે મક્કમપણે રજૂઆત કરી. એક વારથી ન પત્યું એટલે વારંવાર રજૂઆતો કરી અને કર્યા જ કરી. આખરે, તે સમયે, કે જ્યારે નવસારી જિલ્લો ન હતો ત્યારે વલસાડના સંસદ સભ્ય શ્રી સ્વ.ઉત્તમભાઇ હરજીભાઇ પટેલે પોતાની ગ્રાન્ટ ફાળવી અને મહોલ્લામાં અજવાળું પથરાયું. આ ભૂપેન્દ્રભાઇની પહેલી લડત અને પહેલી સફળતા ! આ સાલ ૧૯૮૫ની. આખા દેવસર ગામમાં વીજળી લાવવા માટે ભૂપેન્દ્રભાઇના પિતાજી છોટુભાઇએ પૂરી મહેનત કરી.

    **** **** ****

    આ સફળતાથી પ્રેરાઇને એમણે પોતાનો પ્રવૃત્તિઓનો વિસ્તાર વધાર્યો. એ માહ્યાવંશી સમાજમાં જડ ઘાલી ગયેલા અજ્ઞાન તથા બદીઓ પરત્વે જાગૃત બન્યા. એ સમસ્યા જૂની અને ઊંડા મૂળની હતી. વળી એમાંની કેટલીક તો ધાર્મિક અંચળા હેઠળ પણ વકરેલી હોવાથી એની સામે બાખડવું દુષ્કર હતું, પણ વૈજ્ઞાનિક ધોરણે બધું વિચારનારા ભૂપેન્દ્રભાઇ કોઇની ધાર્મિક આસ્થાને છંછેડ્યા વગર એના અભ્યાસમાં વધુ ને વધુ ઊંડા ખૂંપતા ગયા. સાવ પ્રાથમિક ધોરણનાં એવાં સુધારાવાદી કાર્યોને કારણે લોકચાહના તો પુષ્કળ મળી અને પોતાના સમાજની સાવ છેવાડાની વ્યક્તિઓ સાથે પણ એમનો માનભર્યો પરિચય પાંગર્યો.  લોકસંપર્ક પણ વધ્યો અને એ રીતે તેમનું કાર્યક્ષેત્ર પણ બહોળું થયું. ૧૯૮૫માં ભૂપેન્દ્રભાઇ કોંગ્રેસમાં જોડાયા અને રાજકીય ક્ષેત્રે પ્રવેશ્યા. આમ કરવા પાછળ તેમનો સાદો તર્ક હતો કે વેલાને વિકસવા અને વધવા માટે કોઇ મજબૂત થડ જોઇએ. એ થડ તેમને કોંગ્રેસમાં વરતાયું. વળી એ પણ સમજાયું કે એને કારણે સામાજિક જવાબદારીઓનો નિભાવ આસાન તથા અસરકારક ઢબે કરી શકાશે .

    એક દાયકા સુધી અનુસૂચિત જાતિના ગણદેવી તાલુકા પ્રમુખપદે રહ્યા પછી ૧૯૯૭ થી ૨૦૦૦ દરમ્યાન તેઓ ભાજપમાં જોડાયા. આ જ સમયગાળામાં દેવસર યુવક સેવા સમિતિના પ્રમુખપદે રહી તેમણે પીવાના પાણીની સમસ્યાનો પ્રશ્ન હાથ પર લીધો. ૧૯૯૦ થી ૧૯૯૫ દરમ્યાન રેલી સહિતનાં આંદોલનો કર્યા અને ગામમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવ્યે પાર કર્યો. તે જ રીતે ખાસ અંગભૂત યોજના હેઠળ ૨૦૧૦માં તેમના મહોલ્લામાં પાણી પુરવઠાની યોજનાની અંતર્ગત  અન્વયે રૂપિયા ૫,૯૫,૦૦૦/- ના ખર્ચે પાણીની ટાંકી તૈયાર કરાવી અને પાણીની લાંબા સમયથી સતાવતી સમસ્યા હલ થઇ. પણ એક તબક્કે ગ્રામપંચાયતના વહીવટમાં તેમને ભ્રષ્ટાચારની ગંધ આવતાં તેઓ ઉપવાસ અને ધરણાનાં કાર્યક્રમો પણ યોજી ભ્રષ્ટાચારી તલાટીને બદલાવીને જંપ્યા. આમ રાજકીય ઓથે તેમના કાર્યોમાં વૈવિધ્ય પણ ભળ્યું. એ વૈવિધ્યની વાતો આવતા સપ્તાહે


    (ક્રમશઃ)


    (નોંધ: વિગતપૂર્ણ આલેખન માટે વડોદરાના શ્રી પરેશ પ્રજાપતિનો સહકાર સાંપડ્યો છે. તેમનો આભાર.)


    લેખક સંપર્ક-

    રજનીકુમાર પંડ્યા.,
    બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
    મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

  • નવજીવન

    દુર્ગેશ ઓઝા.

     રમેશ તો નવાઈમા ડૂબી ગયો. ઓરડામાં ચારે બાજુ કરોળિયાનાં ચિત્રો, રંગોની ડબ્બીઓ, કેનવાસ, કાગળના થપ્પા, ને એની અંદર ખૂંપેલા પપ્પા! પપ્પાનું આવું રૂપ આ પહેલાં એણે ક્યારેય નહોતું જોયું. અચાનક રમેશની નજર મોટા રંગબેરંગી મથાળાવાળા કાગળ પર પડી, જેમાં એક વાર્તા લખેલી હતી, જેને એ રસપૂર્વક વાંચવા લાગ્યો.

    ‘એક હતી કોયલ. તે એક વાર માંદી પડી. તેને ખબર પડી કે તેનો અવાજ થોડા દી’ પૂરતો બેસી જશે. એની ખબર કાઢનારા કહે,  ‘અ ર ર ર, તારો અવાજ બેસી જ્શે? હાય હાય…હવે તારી જિંદગી!’

    કોયલ કહે, ’ભલે અવાજ બેસી જતો. એ પાછો ઊભો થઈ જશે.. બે-ચાર દી’ અવાજ ચાલ્યો જાય એમાં કાંઈ આખું જીવન નકામું નહીં થઇ જાય, કાગડાકાકા! હું કાંઈ એમ હિંમત હારું એવી નથી. અવાજ બેસી ગયો એટલે એવું સમજો કે દસમા-બારમાં ધોરણની પરીક્ષાનું પેપર નબળું ગયું, કાં  એમાં નાપાસ થયા, બસ એટલું જ.. તમે ખાલી ચોપડીની પરીક્ષામાં જ હારી ગયા, પરંતુ, પરીક્ષા પૂરી એટલે તમારું સાવ પૂરું થઇ ગયું એવું નથી. તમારી સામે આખી જિંદગી પડી છે. હજી ઘણી બધી તકો, પ્રવૃતિઓ છે.

    કાળઝાળ ગરમીમાં એક વખત પાક સાવ બળી જાય તો ધરતી કાયમને માટે સૂકીભઠ્ઠ થઈ નથી જતી, વાંદરાભાઇ! એ એમ નથી વિચારતી કે ‘આપણી જિંદગી ખતમ.’ પાક ખાલી એક જ વાર બગડ્યો છે, પણ ફરી એ જ જમીનમાં વાવશો તો પાછું ઊગશે, એટલું જ નહીં, ચોતરફ અનેરી હરિયાળી લહેરાઈ ઊઠશે, કારણ કે નબળો પાક એ સમજો માત્ર એક પરીક્ષા કે તેનું પેપર છે, તે આખા જીવનનો સાર કે તેનું માપ નથી. અભી તો પિક્ચર બાકી હૈ મેરે દોસ્ત. ’કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય, તૂટે ઘર તો પાછું નવું બનાવતો જાય.’ એટલે હું નિરાશ થઈ આપઘાતના નબળા વિચાર નહીં કરું.’ ને કોયલ; ખરેખર થોડા દિવસ પછી ફરી એ જ મસ્તીમાં ટહુકવા લાગી ને બીજાનેય ખુશ કરી સાચો રસ્તો બતાવી ગઈ..

    ….ને એ રંગબેરંગી કાગળ શોધવા જેવી હિંમતલાલે પાછળ નજર ફેરવી કે તરત જ…’લે તું ક્યારે રૂમની અંદર ઘૂસી ગયો દીકરા!? અચ્છા, તો એ કાગળ તારા હાથમાં છે એમ! કેવી લાગી વાર્તા?’

    ‘સરસ છે પપ્પા.’ રમેશ થોડું મલક્યો ને પપ્પા બોલ્યા, ‘તને નવાઈ લાગે છે ને કે આ બધું..!! એક પુસ્તકે મને જગાડ્યો જેમાં લખેલું કે ‘તમે જીવનમાં ક્યારેય ન કર્યું હોય એવું સારું, કંઇક નવું. અનોખું કરી બતાવો.’ બેટા, નાનો હતો ને ત્યારે હું સરસ ચિત્રો દોરતો,

    પણ છેલ્લાં વીસ વરસથી ધંધા, નફા, પૈસા.. વગેરેની હાયવોયમાં હું બધું ભૂલી ગયો હતો, પરંતુ આજ મેં નક્કી કર્યું કે આજકાલ વિદ્યાર્થી નબળા પેપર કે પરિણામથી નાસીપાસ થઈ જીવનનો અંત આણવા સુધી પહોંચી જાય છે, તે ન થાય ને તે ફરી પડકાર ઝીલી લઈ નવી આશા ને શ્રદ્ધા સાથે બેઠો થાય એવું કાંઇક કરું. ને દીકરા સાચું કહું? આ વાંચીને વિદ્યાર્થી વગેરેને તો મળશે જ, પણ મને તો અત્યારે જ નવજીવન મળી ગયું. જો આ ચિત્રો.’ પહેલું ચિત્ર કરોળિયો ચડે એવું, બીજું તે નીચે પડે તેનું ને ત્રીજું તે ફરી ઉપર ચડી અંતે ઘર બનાવવામાં સફળ થાય એ પ્રકારનું હતું. રમેશે ચિત્રો જોયાં ને પછી તે ઘરની બહાર નીકળ્યો..

    .દીકરો મોડી સાંજે ઘેર પાછો આવ્યો ને પપ્પાને વળગી રડવા લાગ્યો. પછી થોડું સ્વસ્થ થતા એ બોલ્યો, ’પપ્પા, સવારે જ્યારે હું તમને મળવા આવ્યો’તો ત્યારે અમારી પરીક્ષા પૂરી થતાં જ હું કાંકરિયા તળાવની પાળે ફરવા જવાની રજા લેવા આવ્યો’તો. પણ સાચું કહું? હું કાયમ માટે તમારી રજા લેવા આવ્યો’તો. હું ત્યાંથી પાછો નહોતો આવવાનો, પણ તમારી વાર્તા, ચિત્રો વગેરે જોઈ હું ઘેર પાછો ફર્યો છું. બધાં માબાપ તમારાં જેવાં હોય જે મિત્ર બની સાચું વહાલ કરે, ખોટું દબાણ ન કરે તો જીવવાની મઝા આવે. થેંક્યુ પપ્પા.’

    થોડીવાર સાવ શાંતિ છવાઈ ગઈ. ને પછી પપ્પા ગળગળા સાદે કહી રહ્યા, ’બેટા, એવા અનેક લોકો છે જે ભણવામાં સાવ ‘’ઢ’’ હતા, છતાં સફળ થયા છે. પરીક્ષા મહત્વની છે, જે દિલ દઈ પૂરી મહેનત કરી આપો, પણ એની જ ફૂટપટ્ટીથી તમારી કુશળતાને ન માપો. ને ખાલી અભ્યાસક્રમના ચોપડા જ ન વાંચો. બીજું પણ વાંચો. થોડું નાચો-ગાઓ, હરો-ફરો તો ટેન્શન જાશે, આનંદ આવશે, ને ઊલટું વધુ યાદ રહેશે. પરીક્ષા એ જીવનની છેલ્લી તક નથી. એની બહાર પણ એક સુંદર જીવન છે. સચીન તેંડુલકર ઝીરોમાં જાય તો તે કાયમ માટે ક્રિકેટ છોડી નથી દેતો. ફરી હિંમત બતાવી બીજા મેચમાં સદી ફટકારે છે.  ઝીરોમાંથી હીરો બની જાય છે. હારો ભલે, પણ હિંમત ન હારો. બેટા, તું આ પરીક્ષામાં ભલે કદાચ ઓછા ગુણ મેળવ કે નાપાસ થા, પણ જીવનની પરીક્ષામાં તો તું ફર્સ્ટ-ક્લાસ પાસ થયો છે. અભિનંદન. આ સદગુણનું મૂલ્ય પેલી પરીક્ષાના ગુણ કરતાંય ક્યાંય વધુ છે. ચાલ, એના માનમાં થોડો મસ્ત ડાન્સ થઈ જાય.’

    ને પિતા-પુત્ર બંને ખુશીમાં નાચવા લાગ્યા. બંનેને કશુંક અનોખું પ્રાપ્ત થયું હતું.

    ૦ ૦ ૦ – – – ૦ ૦ ૦

    સંપર્ક: દુર્ગેશ ઓઝા. પોરબંદર.  ૐ. મો. ૯૮૯૮૧૬૪૯૮૮  ઈ –મેઈલ: durgeshoza@yahoo.co.in

  • કમ્માલનો માણસ છે, આ !

    વલીભાઈ મુસા 

    “ફૂટવેરનો જ દાખલો લ્યો ને ! કોઈ શોરૂમમાં રેક ઉપર બોક્ષમાં પેક થયેલાં મૂલ્ય, ગુણવત્તા અને વિવિધ પ્રકારો ધરાવતાં જૂતાં આપણને કેવાં ધ્યાનાકર્ષક લાગે! મીઠડાં સેલ્સમેન કે સેલ્સવિમેન  એમનાં ધંધાકીય કૌશલ્યો વડે આપણને એવાં હિપ્નોટાઈઝ્ડ કરી દે કે આપણે સ્લીપર્સ લેવા ગયાં હોઈએ અને બુટ ખરીદી લઈએ; સસ્તું લેવાનો ઈરાદો હોય અને મોઘુંદાટ લઈ બેસીએ; ઉંમરને શોભે તેવું લેવાના બદલે કોલેજિયનોની પસંદ એ આપણી પસંદ બની જાય! એ લોકોએ એમની ધંધાકીય પ્રિમાઈસિઝમાં જાણે કે એવાં અદૃશ્ય જામર (Jammer) લગાવી દીધાં હોય કે ગ્રાહકોની વિચારશક્તિ માત્ર નિષ્ક્રીય જ નહિ, બુઠ્ઠી પણ  બની જાય! દિવ્ય દૃષ્ટિ ધરાવતાં એ સેલ્સ પર્સન્સ આપણા વૉલેટમાંની કરન્સી ગણી લે, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ જોઈ આવે અને આપણને આપણા કદ પ્રમાણે વેતરવાની પેરવી કરી લે. ખિસ્સાકાતરુઓ અને એ લોકોમાં જો ફરક હોય તો માત્ર એટલો જ કે પેલા ખિસ્સાકાતરુઓની કાતર કે બ્લેડ આપણાં ખિસ્સાં તરફ લંબાય, જ્યારે આ લોકોની કાતરો કે બ્લેડો એમના હાથમાં જ રહે અને આપણાં ખિસ્સાં સામેથી કપાવા એમની તરફ લંબાય! આવું જ આપણને….”

    પ્રિયાએ આકાશને અધવચ્ચે અટકાવતાં કહ્યું, ‘મનમાં વાંચો ને, પ્લીઝ! આખા દિવસ દરમિયાન ઘરકામના ઢસરડા ખેંચી ખેંચીને થાકીને લોથપોથ થયાં હોઈએ અને તમે તો જુઓ ને ઊંઘવાય નથી દેતા!’

    પતિ મહાશય મિ. આકાશ કમ્પ્યુટર ઉપર થોડું થોડું કંઈક લખતા જાય અને વચ્ચે વચ્ચે સહેજ મોટા અવાજે વાંચતા જાય. આ એમની હમણાંની રોજિંદી આદત બની ગઈ હતી.

    ‘મનમાં વાંચવામાં અને મોટા અવાજે વાંચવામાં ફરક છે, ડાર્લિંગ! પણ એ તને નહિ સમજાય. મહાન માણસોની સફળતા પાછળ સ્ત્રીઓનો હાથ હોય છે એમ જે કહેવાય છે એ મને લાગુ નહિ પડે. મને જો લાગુ પડે તો એ પડે કે મહાન થવા મથતા માણસોની નિષ્ફળતા પાછળ સ્ત્રીઓની જીભ હોય છે!’

    ‘મહાન માણસ થવા માટે તમને બીજું કોઈ ક્ષેત્ર ન મળ્યું અને જિંદગીભર ભૂખડીબારશ રહેવા માટેનું આ લેખક થવાનું ક્ષેત્ર જ મળ્યું? હું મેટ્રિક સુધી ભણેલી છું એટલે મને એટલી ખબર તો પડે છે કે ફિલ્મની સ્ક્રીપ્ટ કેવી હોય! હમણાં બોક્સઑફિસ ઉપર ટંકશાળ પાડી ચુકેલી બેચાર ફિલ્મો જોઈને તમે ફિલ્મ માટેની સ્ટોરી લખવાની ઘેલછામાં પડી ગયા છો. તમે દિવાસ્વપ્ન જોઈ રહ્યા છો કે કોણ જાણે કેટલાય ફિલ્મ પ્રૉડ્યુસર્સ આપણા ઘર આગળ લાઈન લગાવીને ઊભા રહેશે અને તમારી સ્ટોરી માટે પડાપડી કરશે! અરે ભલા,  તમારું નામ આકાશ છે, એનો મતલબ એ તો ન જ હોય ને કે એ સમગ્ર આકાશ તમારું  થઈ ગયું અને બસ તેમાં તમે એકલા જ ઊડ્યા કરો. ભલે આકાશમાં ઊંચે ઊડ્યે જાઓ, પણ ક્યારેક તો ધરતી ઉપર ઉતરાણ કરવું જોઈશે ને! હવે હું પૂછું તેનો મને સાચો જવાબ આપો કે હાલ તમે મોટા અવાજે જે વાંચ્યું, તે તમને કોઈ ફિલ્મી સ્ટોરી જેવું લાગે છે? મને તો હાઈસ્કૂલ કે વધારેમાં વધારે કોલેજ કક્ષાનો કોઈ નિબંધ જ હોય તેવું જણાઈ આવે છે!’

    ‘એક્ઝેટલી નિબંધ જ તો! અરે ગાંડી, આ તો નેટપ્રેક્ટિસ કહેવાય! હવે, ચાલ ઊંઘી જા અને હું મનમાં વાંચીશ, બસ! આપણા બજેટમાં ન હોવા છતાં આ ઈમ્પોર્ટેડ જાદુઈ સેન્સર ટેબલ લેમ્પ એટલા માટે વસાવ્યો છે કે ટ્યુબલાઈટનાં અજવાળાં તને ઊંઘવામાં વિઘ્નરૂપ ન બને. હવે તું સૂવા પહેલાં મારી એક ભીષ્મપ્રતિજ્ઞા સાંભળી લે કે હું સાહિત્યજગતને વધારે નહિ તો ઓછામાં ઓછી એક નવલકથા તો એવી આપીશ કે જે બેસ્ટસેલર બની રહેશે, દુનિયાની અસંખ્ય ભાષાઓમાં એના અનુવાદ થશે, દુનિયાભરની ભાષાઓમાં એની ફિલ્મો બનશે, સિરિયલો બનશે, મારા ઈન્ટરવ્યૂ લેવાશે, મારી મુલાકાત માટેની એપોઈન્ટમેન્ટ એમને મહિનાઓ પછી મળશે, મારા સેક્રેટરી એના ચીફ સેક્રેટરીને પૂછીને જ  એ તારીખો આપશે અને એ ચીફ સેક્રેટરી તું જ હશે. તું પણ આપણી ફેમિલી લાઈફને જ પ્રાધાન્ય આપશે, પછી ભલે ને એ ગમે તેવો મોટો સમારંભ હોય કે પછી લાખોકરોડો રૂપિયાનો કોપીરાઈટનો કોઈ સોદો હોય!’

    ‘મહાશય, આ બધું એકી શ્વાસે જે બોલી ગયા એ પહેલાંની મારી વાસ્તવિક વાતની યાદ અપાવું તો ખરે જ હવે તમે આકાશથી નીચે ધરતીમાતાની ગોદમાં આવી જાઓ, તમારી નેટપ્રેક્ટીસ ચાલુ રાખો અને મને ઊંઘવા દો; નહિ તો અહીંથી સૂતીસૂતી તાળી વગાડીને તમારા સેન્સર ટેબલ લેમ્પને સ્વીચ ઓફ કર્યે જ જઈશ અને તમને કામ કરવા નહિ દઉં, સમજ્યા?’

    ‘ના, ના. એમ કરીશ નહિ, પ્લીઝ. લખવાનો બરાબરનો મુડ જામ્યો છે. ઓ.કે, ઓ.કે.; ગુડ નાઈટ, પ્રિયે!’

    પરંતુ પ્રિયાની ઊંઘ જામી નહિ. તે કરવટો બદલતી રહી અને વિચારોના ચગડોળે ચઢી. અન્ડર ગ્રેજ્યુએટ આકાશ ગંજબજારમાં મુનીમજી તરીકેની ખાનગી નોકરી દ્વારા જે વેતન લાવતો તેમાંથી માંડ ઘર નભતું હતું. શેઠે પેઢીમાં નવીન કમ્પ્યુટર વસાવતાં આકાશની વિનંતીને ગ્રાહ્ય રાખીને જૂનું કમ્પ્યુટર તેને ભેટ તરીકે આપ્યું હતું. આકાશે એ આશાએ કમ્પ્યુટરની માગણી કરી હતી કે કોઈ નાના વેપારીઓનાં નામાં લખવાનાં મળી જાય તો કાળઝાળ મોંઘવારી સામે ટકી રહેવા કંઈક પૂરક આવક મળી રહે. એણે નામાં મેળવવા માટે તપાસ તો ચલાવી હશે, પણ કોઈ કામ ન મળતાં છેવટે કંઈક સર્જનાત્મક સાહિત્ય લખવાના રવાડે તે ચઢી ગયો હતો. રજાના દિવસે અને મોડી રાત સુધી કંઈક લખવાનું વળગણ એને ‘પી.કે.’ અને ‘બજરંગી ભાઈજાન’ જેવી ફિલ્મો જોયા પછી લાગ્યું હતું. પ્રિયા માનતી હતી કે એમના જેવાં મધ્યમવર્ગી લોકોએ પોતાની આર્થિક ભીંસને ભૂલવા ચિત્તને ક્યાંક પરોવાયેલું રાખવું જોઈએ, નહિ તો હતાશા એમને ઘેરી વળે. દારૂ અને જુગાર જેવાં અનિષ્ટોનું ઉદ્ભવસ્થાન આ ગરીબી જ હોય છે ને ! એવી બદીઓમાં ફસાવા કરતાં કમ્પ્યુટર સાથેનો આકાશનો લગાવ સલામત તો ખરો! હાલ ભલે એ દિવાસ્વપ્નોમાં રાચતો લાગે, પણ ભાવીના ગર્ભમાં શું પડેલું હોય છે તે કોણ જાણી શક્યું છે? એ ભલે નવોદિત છતાંય સાહિત્યકાર તો છે જ. કોઈકવાર સામયિકોમાં એની વાર્તાઓ છપાય છે પણ ખરી. એ વાર્તાઓ છપાય ત્યારે એના ચહેરા ઉપર કેવો આનંદ છવાઈ જતો હોય છે! પુરસ્કારરૂપે મળતી સોબસો રૂપિયાની નાની રકમ પણ કેવી મોટી લાગતી હોય છે અને ઘરમાં કોઈક બજેટમાં ન આવી શકતી ચીજવસ્તુ કેવી આસાનીથી ખરીદાઈ જાય છે! આવા વિચારોમાં પ્રિયા ક્યારે નિદ્રાધીન થઈ ગઈ તેની એને ખબરસુદ્ધાં ન રહી અને સવાર પડી ગઈ.

    પ્રિયાની આંખ ખૂલતાં જ એણે જોયું તો આકાશ કીબૉર્ડને મોનિટર તરફ ખસેડીને ટેબલના છેડા ઉપરની ખાલી જગ્યા ઉપર માથું ટેકવીને નસકોરાં બોલાવતો ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. ટેબલ લેમ્પ ચાલુ જ હતો. એ સહસા સ્વગત બોલી ઊઠી, ‘હાય રામ, આ તે કઈ માટીનો બનેલો માણસ છે! આજે રવિવાર છે, એટલે આખી રાત કામ કર્યું લાગે છે! લાવ, એને જગાડીને પથારીમાં સૂવા જણાવું.’

    પ્રિયા જેવી આકાશની નજીક ગઈ, ત્યાં તો તેના આશ્ચર્ય વચ્ચે એણે જાણી લીધું કે આકાશ જાગતો જ ઊંઘી રહ્યો હતો અને બનાવટી નસકોરાં બોલાવી રહ્યો હતો. એ એની એ જ સ્થિતિમાં પોતાના માથાને ટેકવી રાખીને પ્રિયાની કમરે હાથ વીંટાળતો બોલી પડ્યો હતો, ‘પ્રિયે, તને સરપ્રાઈઝ આપું તો મેં મારી પહેલી નવલકથા હમણાં અડધાએક કલાક પહેલાં જ પૂર્ણ કરી દીધી છે. એ મેં તને અર્પણ કરી છે, એ જ પ્રચલિત વિધાન સાથે કે મારી આ સફળતા પાછળ તારો જ હાથ છે અને એ પણ નકારાત્મક!’

    ‘સાચે જ! મારા માન્યામાં આવતું નથી, ખાઓ મારા સમ! અને મારો નકારાત્મક હાથ? તમે તો મને બદનામ કરી દેશો!’

    “તારા નકારાત્મક વલણે જ તો મને આ નવલકથા લખવા પ્રેર્યો છે! તું મારા આ કાર્ય અંગે જેટલું વધારે નકારાત્મક બોલતી હતી, તેટલો જ હું વધારે ને વધારે પોરસાતો જતો હતો અને તને મારી સિદ્ધિ બતાવવાની મારી ધગશ વધતી જતી હતી. જો કમ્પ્યુટર સ્ક્રીન ઉપર નવલકથાનું કવર પેજ મૂકી રાખ્યું છે. બસ, તારી જાગવાની રાહ જ જોઈ રહ્યો હતો.’ આમ કહેતાં આકાશે માઉસ હલાવ્યું અને સ્ક્રીન ઉપર નવલકથાનું આકર્ષક શીર્ષક વંચાયું : ‘આકાશદીપ’”

    ‘ઓ મારા આકાશ, આ તો તમે ગજબ કર્યો! હવે મારા સવાલોના જલ્દીજલ્દી જવાબ આપો તો જ હું પૂરેપૂરો વિશ્વાસ કરું કે આ દિવાસ્વપ્ન તો નથી જ, નથી.’ આમ કહેતાં પ્રિયા હરખઘેલી બનીને આકાશનું માથું પંપાળવા લાગી.

    ‘બોલ પૂછી નાખ, એકીસાથે બધા સવાલો અને હું બધાયનો જવાબ આપીશ.’

    ‘શેઠજી પાસેથી કમ્પ્યુટર મેળવવા માટે નામાં લખવાનું બહાનું જ માત્ર હતું? કમ્પ્યુટર આવ્યે માંડ એકાદ મહિનો થયો હશે અને પહેલા જ દિવસથી આ નવલકથા લખવી શરૂ કરી હતી? રાત્રે સૂવા પહેલાં પેલો નિબંધ જેવો ફકરો વાંચી સંભળાવ્યો હતો એ શું હતું? અને છેલ્લો સવાલ કે આટલા ટૂંકા ગાળામાં અને એ પણ રોજ લગભગ અડધી રાત સુધી તથા ચારેક રવિવારના આખા દિવસના કાર્યકાળમાં જ કેવી રીતે આ બન્યું?’

    ‘તારા પહેલા સવાલનો જવાબ એ કે તને લાગે છે કે હું શેઠજીને કમ્પ્યુટર ઉપર નામાં લખવાનું ખોટું કારણ આપું? મેં પ્રયત્નો કરી જોયા હતા, પણ એવાં નામાં લખવા મને મળ્યાં ન હતાં. અને હા, પહેલા જ દિવસથી મેં નવલકથા આરંભી દીધી હતી. રાત્રે તને વાંચી સંભળાવેલો ફકરો એ મારા છેલ્લા પ્રકરણના ભાગરૂપ જ હતો. હું આખી રાત હાલ પૂરતો ઈ બુક બનાવવાના કામમાં લાગ્યો રહ્યો હતો. તારા છેલ્લા પ્રશ્ન ટૂંકા ગાળામાં આખી નવલકથા લખાઈ જવાનો જવાબ એ કે બસોએક કલાક કંઈ ઓછા કહેવાય? આ ઉપરાંતનું એક રહસ્ય છે જે રહસ્ય જ રહે તો સારું. એ ન પૂછે તો તારો મોટો ઉપકાર સમજીશ.’

    ‘એ રહસ્ય જાણવાનો મારો અધિકાર નહિ? સપ્તપદીનાં વચનોની યાદ અપાવવી પડશે કે શું? પતિપત્ની વચ્ચે ખાનગી જેવું કંઈ હોય ખરું?’

    ‘ડાર્લીંગ, એ ધંધાકીય ગુપ્તતા (Trade Secrecy) કહેવાય. એ રહસ્ય છતું થઈ જાય તો સાહિત્યકૃતિની બધી મજા જ મારી જાય!’

    ‘તમને એમ લાગે છે કે અમે સ્ત્રીઓ ખાનગી કોઈ વાતને હજમ ન કરી શકીએ? મને પણ તમે એવી નાના પેટવાળી સ્ત્રી સમજો છો?’

    ‘ના, બિલકુલ નહિ. તું તો મારી રહસ્યમંત્રી છે! તો લે કહી જ દઉં કે એ તો ગૂગલ મહારાજનો સથવારો અને કોપી-પેસ્ટની કમાલ!’

    ‘એ શું વળી?’

    ‘એ પછી સમજાવીશ. હાલ તો ગરમાગરમ ચા અને થોડોક નાસ્તો થઈ જાય. ત્યાર પછી એક ટૂંકી ઊંઘ ખેંચી લઉં અને પછી તું શિષ્યા બનીને પલાંઠી વાળીને મારી સામે બેસી જજે. અડધાએક કલાકમાં તને પણ લેખિકા ન બનાવી દઉં તો મારા સમ!’

    ‘કંઈ સમજાવવાની જરૂર નથી. એમ કહો ને કે ઊઠાંતરી!’

    ‘ડાર્લીંગ, એ પણ એક કલા છે. આઘુંપાછું કરતાં આવડવું જોઈએ, નહિ તો ચોરી પકડાઈ જાય. નવલકથાનાં પ્રાકૃતિક વર્ણનો, નાયકનાયિકાનાં દેહસૌંદર્યનાં વર્ણનો, પ્રસંગોચિત વેશભૂષાઓ વગેરે જે જે જોઈએ તે સઘળું ગૂગલ મહારાજ આપી દે. જેમ કોઈ મશિનના સ્પેરપાર્ટને એસેમ્બ્લ કરવામાં આવે અને મશિન બની જાય તેમ જ તો વળી આ કામ થઈ જાય! તું મને એકલાને એ નજરે જોતી નહિ. મને તો મારી પહેલી નવલકથા લખવામાં ખાસ્સો એક મહિનો લાગ્યો. મારા વાલીડા કહેવાતા એવા પ્રૉફેશનલ લેખકો તો આઠદસ દિવસમાં એક પૉકેટબુક તૈયાર કરીને બુકસ્ટોલો ઉપર કોરિયરથી મોકલ્યે જ જાય અને બુક્સ વેચાયા પછી જ પેમેન્ટ વસુલે. ન વેચાયેલો માલ પરત અને એ પણ જાય પસ્તીમાં. કમ્પ્યુટર યુગની આ જ તો છે કમાલ!’

    પ્રિયા બાધી બનીને પોતાના પ્રિય આકાશને સાંભળતી રહી અને મનોમન બોલી પણ ખરી કે ‘કમ્માલનો માણસ છે, આ! એની એકાદ બુક પણ બેસ્ટ સેલર નીવડી, તો તો બેડો પાર!’

    * * *

    શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

    ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577

    નેટજગતનું સરનામુઃ
    William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો | હળવા મિજાજે

  • સીમાંત [૧]

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    ફાગણ મહિનાના બદલાતી મોસમના દિવસો હતા. સવારે સાધારણ ઠંડી અને બપોર પછી દક્ષિણ તરફથી વહી આવતી ગરમ હવાથી વાતાવરણમાં ગરમી પ્રસરી જતી.

    બગીચાના એક ખૂણામાં બેઠેલા યતીનની નજર દૂર દેખાતા મેદાન અને એની બાજુના કાચા રસ્તા પરથી પસાર થતા ગાડા પર અટકી હતી. ગાડીવાળાએ ગરમીથી બચવા માથે ગમછો લપેટ્યો હતો, પણ એ ગરમીની મન પર કોઈ અસર ન હોય એમ નિરાંતે પોતાની મસ્તીમાં ગીત ગણગણતો ગાડું હંકારતો આવતો હતો.

    “કેમ યતીન, વિચારોમાં છેક પૂર્વ જન્મ સુધી પહોંચી ગયો કે શું?” પાછળથી પટલનો કોમળ સ્વર સંભળાયો.

    “કેમ એટલો હતભાગી છું કે મારી પાસે પૂર્વ જન્મ સિવાય વિચારવાનું કશું બાકી નથી?”

    “હાસ્તો, આ જન્મનું વિચારતો હોત તો ક્યારનો એક પત્ની લઈ આવ્યો હોત. આ અમારા માળી ધનેસરે પણ લગ્ન કરીને ઘર વસાવી લીધું અને હવે એની ઘરવાળી સાથે સવાર-સાંજ ઝગડા કરીને એના અસ્તિત્વની જાણ કર્યા કરે છે અને તું ,આ ખુલ્લા મેદાનોમાંથી કોઈ ચાંદનો ટુકડો પ્રગટ થવાનો હોય એમ તાકીને બેસી રહ્યો છે.” પટલે મસ્તી ચાલુ રાખી.

    “બસ હવે, એ એક બાકી રહ્યું છે, કાલે સવારે ઊઠીને જે છોકરી દેખાશે એના ગળામાં વરમાળા પહેરાવી દઈશ, હવે તો રાજી?”

    યતીન અને પટલની ઉંમરમાં માત્ર એક દિવસનો ફરક હતો. પટલ યતીન કરતાં માત્ર એક દિવસ જ મોટી હતી. પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે હોય એવું હેત હતું પણ મોટી હોવાના લીધે યતીન એને દીદી કહીને સન્માનતો નહોતો એની પટલને ભારે ખીજ હતી. પટલ હતી ગોળ-મટોળ અને પ્રસન્નવદના. ગંભીરતા તો ક્યારેય એની પ્રકૃતિમાં પ્રવેશી જ નહી. એ જ્યાં જતી ત્યાં પ્રસન્નતા પ્રસરાવતી. પટલના પતિ હરકુમાર બાબુ ડેપ્યુટી મેજીસ્ટ્રેટ હતા અને બઢતી મળતા હવે  કલકત્તાના આયકર વિભાગના ઉચ્ચ પદ પર નિમણૂક થઈ હતી. કલકત્તામાં ફેલાયેલી પ્લેગની મહામારીના ભયથી કલકત્તાના ઉપનગરમાં એમનું ઘર હતું ત્યાં રહેતા અને ત્યાંથી કલકત્તા આવ-જા કરતા. અનેકવાર એમને અન્ય ગામોની મુલાકાતે જવું પડતું. પટલને એની એકલતામાં કોઈ આત્મિય સાથે હોય એવી ઝંખના રહેતી. એ જ અરસામાં યતીન ડૉક્ટરની ડીગ્રી મળી. પટલનું નિમંત્રણ સ્વીકારીને યતીન અહીં રહેવા આવ્યો. કલકતાની અંધારી ગલીઓમાંથી નીકળીને સીધા જ આમ વનરાજી વચ્ચે આવીને રહેવાનું એને ગમ્યું.

    આમ જોવા જઈએ તો પટલ સાવ એકલી નહોતી. એની સાથે ચુનિયા તો હતી જ. જે સમયે દુકાળના, ભૂખમરાના સમયમાં અનેક લોકો ટપોટપ મરતાં હતાં એવા કપરાં સમયમાં ચુનિયાના મા-બાપ પણ આ દુકાળમાં સંસારની સઘળી ઝંઝટથી મુક્ત થઈને પ્રભુશરણ થયાં હતાં. પાછળ રહી ગઈ આ ચુનિયા. એને હરકુમાર લઈ આવ્યા હતા અને પટલે અત્યંત સ્નેહથી કાળજી લઈને ચુનિયાને બચાવી લીધી હતી. સાવ અબૂધ એવી ચુનિયા જાણે અહીં નવજીવન પામી હતી.. ૧૬ વર્ષની મૃગનયની ચુનિયા હવે આ પરિવારની સદસ્ય બની રહી. એની જાતિ વિશે કોઈ પૂછે તો પટલ કહી દેતી કે આ ઘરમાં એનો નવો જન્મ છે એ અર્થમાં એ દ્વિજ કહેવાય અને વાત ત્યાં આટોપાઈ જતી. એ દિવસે પટલના કહેવાથી યતીને ચુનિયાની તબીબી દ્રષ્ટિએ ઝીણવટભરી તપાસ કરીને એની શારીરિક અંશતઃ સ્વસ્થતા વિશે ખાતરી આપી..

    ચુનિયાનું પરિક્ષણ કર્યા પછી યતીનને એક વાત સમજાઈ ગઈ કે એની અબૂધતા એના માટે આશીર્વાદ સમાન છે. જે છોકરીએ એની નજર સામે મા-બાપને મરતાં જોયાં છે એના જીવન પર એ ઘટનાની કેવી ભયંકર છાયા અંકિત થઈ હોય? વિધાતાએ એની બુદ્ધિ પર અબૂધતાનું આવરણ નાખીને એને સુખી રાખી છે.

    યતીન તરફથી ચુનિયાની સ્વસ્થતાનું પ્રમાણપત્ર મળતાં જ પટલ પોતાના અસલ મસ્તીખોર મિજાજ પર ઉતરી આવી. એણે સીધું જ ચુનિયાને પૂછી લીધું,

    “મારો ભાઈ તને પસંદ આવ્યો? એની સાથે વિવાહ કરીશ?”

    અબૂધ ચુનિયાએ એની મૃગ જેવી ચંચળ આંખો પટપટાવીને હા શું કહી કે મસ્તીખોર પટલ ખુશ થઈ ગઈ.

    બસ પછી તો પટલે એના તોફાનોનું નિશાન ચુનિયા અને યતીનને બનાવી દીધાં એ દિવસે તો પટલે હદ કરી. ચુનિયા અચાનક કોઈ અજબ વેદનાથી પીડાઈ રહી હતી. કોઈ અગમ્ય કારણોથી એનું શરીર અકડાઈ ગયું હતું, હાથ-પગ ઠંડા પડી રહ્યા હતા. પટલ એને ગરમ તેલની માલિશ કરી રહી હતી એના હાથમાંથી ગરમ તેલ લઈને યતીને ત્વરાથી ચુનિયાના પગના તળિયાના ભાગે મસાજ કરવા માંડ્યો. ઘડીઓ પસાર થઈ રહી હતી. રાત ઢળવા આવી હતી અને યતીન હજુ માલિશ કરી રહ્યો હતો. ઘણી વારે બરફની જેમ થીજી રહેલા શરીરમાં ચેત આવ્યું, ચુનિયાએ એની મૃગ જેવી ભોળી ભોળી આંખો ખોલી. એ જોતાંની સાથે પટલની સાથે યતીનનાય જીવમાં જીવ આવ્યો. મન પરથી બોજ ઉતરતાં પટલે ચુનિયા સામે જોતા ટીખળ આદરી. “અરે પાગલ, તારી મૃગ જેવી આંખો ખોલીને તું બેઠી થાય એના માટે તો તારા વરે અડધી રાત સુધી તારા તળિયા પંપાળીને તને મનાવવા મથામણ કરી છે. ઊભી થા અને એની પવિત્ર ચરણરજ લઈને માથે ચઢાવ.”

    નાદાન ચુનિયાએ કશું સમજ્યા વગર પટલે કહ્યું એમ કર્યું.

    એ દિવસથી યતીન સાથે અવનવા ઉપદ્રવોના શ્રી ગણેશ મંડાઈ ચૂક્યા. હવે તો પટલ યતીનને કેમ કરીને સતાવવો એની તાકમાં રહેવા માંડી. ચુનિયાની સાથે ચા મોકલવાથી માંડીને યતીન જમવા બેસે ત્યાં ચુનિયાને વિંઝણો ઢોળવાનું કામ સોંપી દેતી. કશુંય સમજ્યા વગર ચુનિયા પટલ કહે એમ કરતી ગઈ. જેમ યતીન અકળાતો એમ પટલ વધુ મસ્તીએ ચઢતી. યતીનની અકળામણ જોઈને પટલને મઝા આવતી.

    હા, પટલ ચુનિયાને ભારે સ્નેહ કરતી. એને શણગારવાના પટલને ભારે અભરખા રહેતાં. એને પોતાને સજવા-સવરવામાં ઝાઝો રસ નહોતો પણ ચુનિયાને બરાબર શણગારતી.

    સાંજનો સમય હતો. બહાર ઢળતી સંધ્યાના રંગોથી આકાશ રંગાયેલું હતું. યતીન એના ઓરડામાં  કોઈ પુસ્તક વાંચવામાં તલ્લીન હતો અને એના શ્વાસોશ્વાસ સુધી સુગંધ પ્રસરી. હવાની લહેરખી સાથે વહી આવેલી એ સુગંધ તરફ યતીનનું ધ્યાન ગયું. જોયું તો ચુનિયા બોરસલીના ફૂલોની માળા લઈને એના ઓરડામાં પ્રવેશી રહી હતી.

    “છી ચુન્ની, તને તારી દીદીએ મજાકનું પાત્ર બનાવી દીધી છે એટલું ય તને સમજાતું નથી?”

    યતીનની વાતનો અર્થ તો એ સમજી નહીં હોય પણ ચહેરા પર ચીઢના ભાવ સમજાતા એ ભોંઠી પડીને પાછી જવા માંડી. યતીન માસૂમ ચુનિયાની ભોંઠપથી વ્યથિત થઈ ઊઠ્યો. એણે ચુનિયાને પાછી બોલાવીને એણે બનાવેલો હાર જોવા માંગ્યો. ચુનિયાના ચહેરા પરના વિષાદના વાદળ ખસી ગયા અને આનંદથી એનો ચહેરો ચમકી ઊઠ્યો અને સહસા યતીનના કાને ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો.

    બીજા દિવસે યતીન માટે ફરી એક નવી ટીખળના વિચારે પટલ એના રૂમમાં ગઈ તો રૂમ ખાલી હતો. ટેબલ પર એક ચબરખી પડી હતી- “મારા માટે હવે અહીંથી ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી.-યતીન.”

    “અરે ઓ ચુનિયા, તારો વર તો ભાગી છૂટ્યો અને તું એને રોકી ના શકી?” અને ટેબલ પર પડેલી બોરસલીની માળા ચુનિયાને બતાવીને પટલ રૂમની બહાર નીકળી ગઈ.

    ચુનિયાની સમજ સુધી આ વાત પહોંચતાં થોડી વાર લાગી પણ એને જ્યારે સમજાયું એ પછી એ પાષાણની પ્રતિમા જેવી બની ગઈ.

    બહાર ફાગણ મહિનાની સવારનો ઉજાસ લીલાછમ વૃક્ષો વચ્ચેથી ચળાઈને ઓસરીમાં રેલાઈ રહ્યો હતો. પક્ષીઓનો સમૂહ કલરવ કરી રહ્યો હતો. નાની અમસ્તી ખિસકોલી આમથી તેમ દોડી રહી હતી. પ્રકૃતિ સોળે કળાએ ખીલી હતી અને એ ચેતનવંતા વાતાવરણ વચ્ચે એક અબૂધ છોકરી પોતાના અસ્તિત્વનો કોઈ અર્થ શોધી રહી હતી. એના માટે આ બધું એક પહેલી સમાન બની ગયું હતું. આ શું થઈ ગયું? અત્યાર સુધી આ સવાર, આ ઘર બધુંજ હર્યુંભર્યું લાગતું હતું એ અચાનક કેમ સન્નાટામાં ફેરવાઈ ગયું? ચુનિયાની આસપાસ અંધકાર પ્રસરી ગયો હોય એમ એ સાવ નિસ્તેજ બની ગઈ. હ્યદયમાં ન સમજાય એવો સૂનકાર પ્રસરી ગયો. ઊંડી ગર્તામાં ધકેલાઈ ગઈ હોય અને કોઈ બહાર કાઢનાર ન હોય એમ સ્તબ્ધ થઈને ઊભી રહી.

    એને શોધતી પટલ આવી, “અરે ચુનિયા,”

    પણ ચુનિયાએ પ્રત્યુત્તર ના આપ્યો. સ્થિર એવી ચુનિયા પાસે જઈને પટલે એને જાણે ઢંઢોળી અને ચુનિયા ધ્રુસકે ચઢી જાણે આંખોના બંધ છૂટી પડ્યા. એના અજાણ મનમાં ક્યારે કયા ભાવોની ભરતી ચઢી એની તો એને જાણ સુધ્ધાં નહોતી પણ યતીનના જવાથી જે ઓટનો અનુભવ થયો એ ખાળવો એના માટે મુશ્કેલ હતો.

    પટલને હાથના કર્યા હૈયે વાગ્યા જેવું થયું. અજાણતાં રમૂજ રમૂજમાં એનાથી કોઈના હ્રદયના ભાવો સાથે રમત રમાઈ ગઈ છે એ સમજાયું પણ ત્યાં સુધીમાં ઘણાં પાણી વહી ચૂક્યાં હતાં. એણે ચુનિયાને પોતાના આલિંગનમાં લીધી.

    “એક વાર તો બોલ કે થયું છે શું તને?”

    પણ ચુનિયા પાસે ક્યાં એવી કોઈ ભાષા હતી કે જેનાથી એ પોતાના વ્યથિત હ્રદયની વાત વ્યક્ત કરી શકે? બસ આ ઘટના પછી એનું મન સાવ બધિર થઈ ગયું. પટલની પ્રુચ્છા કે ક્ષમાયાચનાનો પણ કોઈ જવાબ આપતી નહીં પણ ક્યારેક ગૂઢ ભાવો એવે રીતે ચહેરા પર આવતાં જેનાથી એ ક્રોધિત છે એટલું તો પટલ સમજી શકતી.

    અને એક દિવસ ઊઠીને જોયું તો ચુનિયા ક્યાંય દેખાઈ નહીં. આજ સુધી અનેકવાર જે વસ્ત્રો અને  આભૂષણોથી પટલ એને સજાવતી એ તમામ વસ્ત્રો અને આભૂષણ ચુનિયાના રૂમમાં યથાવત પડ્યાં હતાં.

    હરકુમાર બાબુએ ચુનિયાનો પત્તો મેળવવા પોલીસને જાણ કરી. પ્લેગની મહામારીના લીધે અસંખ્ય લોકો ભયભીત થઈને ચારેકોર ભાગવા માંડ્યાં હતાં એવામાં ચુનિયા ક્યાં મળે? અનહદ પ્રયત્નો પછી જ્યારે ચુનિયા ના મળી ત્યારે અંતે હતાશ થઈને બંનેએ આશા છોડી દીધી. નસીબે મળેલી છોકરીને કમનસીબે ગુમાવી દેવાનું આકરુ તો લાગ્યું પણ સમય જતાં મન સાથે એમણે સમાધાન કરવા માંડ્યું.

    ચુનિયા ક્યાં હશે ? ચુનિયાને ધરતી ગળી ગઈ ?

    જોઈએ આવતા અંકમાં…


    ક્રમશઃ


    સીમાંત -રવીન્દ્રનાથ ટાગોર લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • અમર પ્રેમ (૧૯૭૧)

    ટાઈટલ સોન્‍ગ

    બીરેન કોઠારી

    સચીન દેવ બર્મનની સંગીતરચનાઓ અવશ્ય ગમે છે, પણ સૌથી વધુ ગમતો હોય તો તેમનો સ્વર. તેમના ગાયનમાં એક શિસ્તબદ્ધ ગાયક પાસે હોય એવી સુંવાળપ નથી, અને એ જ બાબત તેમના સ્વરને અનન્યતા બક્ષે છે. સહેજ બરછટપણું પણ સૂરીલું લાગે છે. ઘણી વાર તેમના અમુક ઉચ્ચારો એક વખતમાં ન સમજાય એમ બને, પણ તેની એક જુદી મઝા છે. હિન્દી ફિલ્મોમાં તેમણે ગાયેલાં સાવ મર્યાદિત ગીતો માટે ગુરુ રજનીકુમાર પંડ્યાએ પ્રયોજેલો શબ્દ ‘કલાવિવેક’ એકદમ સચોટ છે.

    મઝા એવી કે આવા બરછટ સ્વરમાં પણ અમુક ગીતોમાં તેમના ભાગે નાયિકાના મનોભાવોનું આલેખન કરવાનું આવ્યું છે. આવાં ગીત સાંભળતાં લાગે કે બરછટપણામાં કોમળ ભાવોના આલેખનને દાદા બર્મન જેટલો ન્યાય કદાચ ભાગ્યે જ કોઈ ગાયક આપી શક્યા હોત!

    આવું એક સદાબહાર, અતિ પ્રિય ગીત એટલે ‘અમર પ્રેમ’નું ‘ડોલી મેં બિઠાઈ કે કહાર’. ૧૯૭૧માં રજૂઆત પામેલી ‘અમર પ્રેમ’નું સંગીત ખરા અર્થમાં સદાબહાર છે. શક્તિ ફિલ્મ્સ નિર્મિત, શક્તિ સામંત દિગ્દર્શીત, ફિલ્મમાં રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર, ઓમ પ્રકાશ, સુજીત, બિંદુ, મદન પુરી સહિત અનેક કલાકારો હતા. આનંદ બક્ષીએ લખેલાં કુલ છ ગીતોને રાહુલ દેવ બર્મને સ્વરબદ્ધ કર્યાં હતાં અને એકે એક ગીત કર્ણપ્રિય! અલબત્ત, ‘ડોલી મેં બિઠાઈ કે કહાર’ની ધૂન ખુદ સચિન દેવ બર્મનની બનાવેલી હતી. કિશોરકુમાર અને રાહુલ દેવ બર્મનની કારકિર્દીનાં શ્રેષ્ઠ કહી શકાય એવાં ગીતો આ ફિલ્મમાં હતાં. ‘રૈના બીત જાય’ અને ‘બડા નટખટ હૈ યે કૃષ્ણકનૈયા’ લતા મંગેશકરે ગાયેલાં હતાં. ‘ચિનગારી કોઈ ભડકે’, ‘કુછ તો લોગ કહેંગે’ અને ‘યે ક્યા હુઆ, કૈસે હુઆ, કબ હુઆ’ કિશોરકુમાર દ્વારા ગવાયેલાં હતાં.

    સંગીતકાર પિતાપુત્ર: (ડાબેથી) સચીન દેવ અને રાહુલ દેવ બર્મન

    દાદા બર્મનના સ્વરમાં ગવાયેલા ‘ડોલી મેં બિઠાઈ કે કહાર’ નો ઉપયોગ  ટાઈટલ સોન્‍ગ તરીકે કરવામાં આવ્યો છે. આ ગીતમાં નાયિકાની પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. ગીતના આરંભે કહારોના ઉદ્‍ગારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દાદા બર્મનના સ્વરમાં આ ગીતની અસર અનેક ગણી વધી જાય છે.

    તેના શબ્દો આ મુજબ છે:

    हो रामा रे, हो ओ रामा
    डोली में बिठाई के कहार – (२)

    लाए मोहे सजना के द्वार
    ओ ओ…डोली में बिठाई के कहार

    बीते दिन खुशियों के चार,
    देके दु:ख मन को हजार
    ओ ओ…डोली में बिठाई के कहार

    मर के निकलना था ओ..ओ..
    मर के निकलना था घर से साँवरिया के
    जीते जी निकलना पड़ा
    फूलों जैसे पाँवों में, पड़ गए छाले रे
    काँटों पे जो चलना पड़ा
    पतझड़…ओ बन गई पतझड़….
    ओ बन गई पतझड़ बैरन बहार
    डोली में बिठाई के कहार

    जितने हैं आँसू मेरी ओ..
    जितने हैं आँसू मेरी अँखियों में उतना
    नदिया में नाहीं रे नीर
    ओ लिखनेवाले तूने लिख दी ये कैसी मेरी
    तूटी नैया जैसी तक़दीर
    रूठा माझी,
    ओ माझी
    रूठा माझी,
    ओ माझी रे,
    रूठा माझी तूटी पतवार
    डोली में बिठाई के कहार

    ટાઈટલ અહીં પૂરાં થાય છે, અને ટાઈટલ ગીત પણ. આ ગીતનો વધુ એક અંતરો ફિલ્મમાં અન્યત્ર વાગે છે, જેના શબ્દો આ મુજબ છે.

    तूटा पहले ये मन,
    तूटा पहले मन अब चूड़ियाँ तूटी,
    हुए सारे सपने यूँ चूर
    कैसा हुआ धोखा, आया पवन का झोंका
    मिट गया मेरा सिंदूर
    लुट गए,
    ओ रामा लुट गए,
    ओ रामा मेरे लुट गए
    सोलह सिंगार

    डोली में बिठाई के कहार
    लाए मोहे सजना के द्वार
    ओ ओ…डोली में बिठाई के कहार

    અહીં આપેલી લીન્ક પર ટાઈટલ વખતનું ગીત સાંભળી શકાશે. એટલી ખાત્રી કે આ ગીત એક વખત સાંભળીને ધરવ નહીં થાય. વારંવાર સાંભળ્યા પછી પણ મનમાં એ સતત ગૂંજતું રહેશે.

     


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • મહેન્દ્ર શાહનાં નવેમ્બર ૨૦૨૨નાં સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

    Mahendra’s month of Nov. creations for WG.


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com