-
આયોજનના ભ્રામક તર્કનાં વમળમાંથી બહાર કેમ નીકળવું
મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત
પાર્કિન્સનનો નિયમ અને સમયનું વ્યવસ્થાપન
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
આયોજનનો ભ્રામક તર્ક, સામાન્ય રીતે, ઉત્તેજના ને આશાવાદની વ્યાપક લહેર પેદા કરે છે. તેનું એક પરિણામ એ પણ આવી શકે છે કે આયોજનને લગતી કોઈ પણ નકારાત્મક બાજુની શક્યતા આપણાં વિચારફલકમાં દેખા જ નથી દેતી.
કોઈ પણ માહિતી કે વ્યુહરચનાની સકારાત્મક અને નકારાત્મક બન્ને બાજુઓને ગણત્રીમાં ન લેવાથી:
- ખર્ચાના ઓછા અંદાજ આંકવાનાં
- કામ પુરું થવાનો અંદાજ ઓછો આંકવાનાં, કે-અને
- ફાયદાઓના અંદાજને વધારે પડતો આંકી બેસવાનાં
જોખમો, જાણ્યેઅજાણ્યે, નોતરી બેસવાની શક્યતાઓ વધી જાય છે.
આયોજનના ભ્રામક તર્કનાં વમળમાં ફસાઈ ન જવાના સૈદ્ધાંતિક ઉપાયો Planning Fallacy લેખમાં જોવા મળે છે:
વિભાજન પ્રભાવ એટલે કોઈ પણ કામની નાનાં કામોમાંની વહેંચણીમાં એ દરેક નાનાં કામ માટે ફાળવેલ સમયના સરવાળા કરતાં આખાં કામ માટે ફાળવાયેલો ઓછો સમય. ૨૦૦૮માં ડેરીલ ફોર્સીથે કરેલા અભ્યાસમાં આ પ્રભાવની મદદથી આયોજનના ભ્રામક તર્કને ઓછો કરી શકાય કે કેમ તે તપાસવામાં આવ્યું. એ ત્રણ પ્રયોગોમાં વિભાજન પ્રભાવ નોંધપાત્ર સ્તરે અસરકારક હોવાનું તારણ આવ્યું. જોકે, વિભાજન તર્ક એ બાબતનાં સર્વગ્રાહી જ્ઞાનના બહુ સંસાધનોની આવશ્યકતા માગી લે છે, પરિણામે તેનો રોજબરોજનો ઉપયોગ મુશ્કેલ બની રહે એમ પણ બને. [18]
અમલીકરણનો આશય કેમ, ક્યારે અને ક્યાં શું શું પગલાં લેવામાં આવશે તેનાં નક્કર આયોજનનું નિરૂપણ છે. વિવિધ પ્રયોગો દ્વારા જોઈ શકાયું છે કે અમલીકરણ આશયની મદદથી કામનાં સર્વગ્રાહી ચિત્ર અને તેનાં સંભવિત પરિણામો બાબતે લોકોને વધારે જાણકાર કરી શકાય છે. શરૂઆતમાં આગાહીઓ વધારે આશાવાદી થવાની શક્યતાઓ વધે છે. પણ એમ માનવામાં આવે છે કે અમલીકરણ આશયનાં ગઠનથી, કામ પુરું કરવાની પ્રતિબધ્ધતા માટેનાં ‘સ્પષ્ટ મનોબળનું ઘડતર’ શક્ય બને છે. એ પ્રયોગો દરમ્યાન જેમણે જેમણે અમલીકરણ આશય ઘડેલ હતો તેઓ કામને વહેલું શરૂ કરી શક્યા, વચ્ચે ઓછાં નડતરો અનુભવ્યાં, અને આગળ જતાં વધારે અડતી આશાવાદી આગાહી કરવાનાં વલણમાં ઘટાડો પણ જોવા મળ્યો. એમ પણ જોવા મળ્યું કે અમલીકરણમાં અડચણોના ઘટાડાનો પણ આશાવાદી વલણ ઓછું કરવામાં ફાળો રહ્યો હતો. [3]
વર્ગીકૃત સ્તરીય સંદર્ભ આધારિત આગાહી નિયોજિત કરાયેલ કામનાં પરિણામોની આગાહી એ જ પ્રકારનાં સાંદ્રભિક સ્તરે વર્ગીકૃત કરાયેલાં કામોનાં ખરેખર આવેલાં પરિણામો સાથે સરખામણીના આધાર પરથી કરે છે.

સદ્ભાગ્યે, જો આ બધી સૈદ્ધાંતિક ભાંજગડમાં ન પડવું હોય તો વ્યવહારમાં સરળ રીતે અમલ કરી શકાય એવા ઉપાયો પર અનેક લેખો પ્રકાશિત થયેલ છે. તે પૈકી આપણે કેટલાક પ્રતિનિધિ લેખો પર એક નજર કરીશું –
Which of these 6 time traps is eating up all your time? – Ashley Whillans
સમય દારિદ્ર્ય – કામ ઘણાં અને સમય ટાંચો – આપણી પાસે ઉપલબ્ધ કલાકો અને કામો કરવા માટે આવશ્યક કલાકો વચ્ચે સંતુલનનો મેળ ન પડવાથી પેદા નથી થતું; પણ આપણે એ ઉપલબ્ધ કલાકોને કયા દૃષ્ટિકોણથી જોઇએ છે અને તેમને કેટલું અગત્ય આપીએ છીએ તેમાંથી નીપજે છે.
The Planning Fallacy: How to Avoid Becoming a Victim
“The Eisenhower Box” [1] દર્શાવે છે કે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનાં કામો કરવાને બદલે અન્ય કામો હાથ પર લેતાં રહેવું. ‘તાકીદનું અને મહત્ત્વનું’ એ રીતનાં વર્ગીકરણનું કોષ્ટક જે મહત્ત્વનાં કામોને પહેલાં કરવાં જોઇએ કે જેના પર લાંબા ગાળાનું પણ ધ્યાન અપાતું રહેવું જોઇએ, જે કામો તાકીદનાં છે પણ વ્યુહાત્મક રીતે ઓછાં મહત્ત્વનાં છે કે જે કામો તાકીદનાં પણ નથી કે મહત્ત્વનાં નથી તેવાં ચોસલાંમાં ગોઠવી આપે છે.

White space risk [2] [3]– બીનમહત્ત્વનાં કામો પાછળ સમય આપવો – આયોજનનાં મહત્વનાં ઘટકોને નજરંદાજ કરવાનાં ભયસ્થાનો પેદા કરી શકે છે.
Solving the Planning Fallacy – સામાન્યપણે બધું ધાર્યા મુજબ જ પાર પડશે તેવી આપણી માન્યતાને કારણે આયોજનમાં સંભવિત અણધારી ઘટનાઓની સાથે સંકાળાયેલી સમસ્યાઓ પર આપણે ઓછું ધ્યાન આપવાનાં વલણનાં શિકાર બની જતાં હોઈએ છીએ અને આપણાં આયોજનમાં તેમની ઉચિત ગણત્રી કરી લેવાનું ભુલી જઈએ છીએ.
હજુ પણ વધારે વ્યાવહારિક ઉપાયો દર્શાવતા કેટલાક અન્ય લેખો –
- What Is the Planning Fallacy, and How Can You Avoid It?
- What Is The Planning Fallacy and How To Beat It Down? (9 Useful Tips)
- Stressed and Overcommitted? Tips to Tackle Planning Fallacy, a behavioral economics foundations episode shows how it works and what studies have found, as well as tips for overcoming this bias
- Strategic Execution: How to Stack the Odds in Your Favor
જો રસ હોય તો આવાં વધારાનાં વાંચન પણ છે –
- Learn about six other cognitive biases that make us suck at time management.
- How Busyness Leads to Bad Decisions
- The Complete Guide to Time Blocking
- How to Prioritize When There’s Always More to Do
- Lev Virine and Michael Trumper. Project Decisions: The Art and Science, Vienna, VA: Management Concepts, 2008. ISBN978-1-56726-217-9
[3] Managing in the Whitespace – Mark C. Maletz and Nitin Nohria
-
કામ મારા માટે હોય કે પછી તમારા માટે, પણ કામ જ તમારી આગવી ઓળખ બની રહેશે
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
જ્યારે કોઈ સંસ્થાના કે ટીમના ભાગ રૂપે કામ કરતાં હોઇએ છીએ ત્યારે, કંપની માટે, ટીમના સંચાલક માટે કે કોઈ ગ્રાહક માટે, એટલે કે કોઈ ‘બીજાં માટે કામ કરી રહ્યાં છીએ’ એવું લાગી શકે.
પરંતુ એ જ કામ આપણે આપણા માટે જ કરી રહ્યાં છીએ એમ લાગે તો બહુ મોટો ફરક પડી જાય છે.
આપણું કામ આપણી ઓળખનું પ્રતિબિંબ છે. કળાકાર તેની કળા મારફત, લેખક તેની લેખની મારફત કે ટીમ અગ્રણી તેની નેતૃત્વ શૈલી મારફત પોતાની ઓળખ ઊભી કરે છે. આપણાં કામમાં આપણાં વ્યક્તિત્વની ઝલક છલકતી રહે છે. આપણું કામ આપણાં વ્યક્તિત્વનું અનોખું નિરૂપણ છે.
‘આ કામ મારું છે’ એ વિધાન એ કામ સાથે આપણી જાતને વણી લે છે. અને જ્યારે આપણું વ્યક્તિત્વ આપણાં કામમાં વણાઈ જાય ત્યારે જ તે પોતાની ઉત્કૃષ્ટતા નીખરી શકે છે. ગમે તેટલી નિષ્ઠાથી કરાતું હોય, પણ બીજાં માટે છે એ અનુભૂતિમાં કામ કરવાની ફરજ પુરી કરવાનો, ઊંડે ઊંડે પણ, ભાવ રહે છે. ફરજ છે એટલે તેને પુરી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાથી કરવું એ પણ તમારાં વ્યક્તિત્વનાં જ એક પાસાંની ઓળખ જરૂર છે,પણ લાંબે ગાળે તે કામમાંથી રસ ઊડતો જાય એવી ભીતિ રહેલ છે.
એ જ કામ ‘મારું’ છે તેવી ભાવના ગમે તેવાં વિપરીત સંજોગોમાં પણ આપણી અંતરની શક્તિઓની સરવાણીને સુકી નથી પડવા દેતી.
તમારાં કામને ‘સરેરાશથી વધારે’ કે ‘ઉત્કૃષ્ટ’ની ઓળખ આપવી તે આપણાં મનની વાત છે. ‘કામ મારું છે’ એ ભાવના આપણને જ નવી ઉર્જા નથી આપતું પણ આપણી આસપાસનાં વાતાવરણને પણ ઉર્જામય કરી શકવાની તાકાત ધરાવે છે.
એટલે હવે જ્યારે કોઈ પણ કામ કરવાનું આવે ત્યારે એ કામ ‘મારું’ છે તેવી સ્પષ્ટ ભાવનાથી કરી જોજો, કંઈ અનોખી જ મજા આવશે !
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
કરોળિયાના જાળાં : કળા છે કે કળાકૃતિ?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણતૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય.કવિ દલપતરામની આ કવિતા ગુજરાતી માધ્યમમાં રહી ચૂક્યા હશે એવા સહુ કોઈને યાદ હશે. તેમાં કરોળિયાના હિંમત, ખંત, ધીરજ અને પ્રયત્નશીલતા જેવા ગુણોને બીરદાવીને કહેવાયું છે કે મનુષ્ય પણ કરોળિયા પાસેથી આ ગુણો શીખે તો તેને માટે લાભદાયી નીવડે છે.
કરોળિયાના જાળાની રચના, તેની મજબૂતાઈ અને કળાત્મકતા વિશે પણ ઘણું કહેવાયું છે. પશ્ચિમમાં તો કરોળિયા જેવાં લક્ષણો ધરાવતા ‘સ્પાઈડરમેન’નું પાત્ર સર્જાયું છે, જેણે વિશ્વવ્યાપી લોકપ્રિયતા મેળવી છે એમ કહી શકાય. ‘વર્લ્ડ વાઈડ વેબ’ની મૂળભૂત વિભાવના કરોળિયાના જાળા પર આધારિત છે. આનો અર્થ એવો હરગીજ નથી કે મનુષ્યને કરોળિયો બહુ ગમે છે. કરોળિયાનું જાળું કાર્ટૂનકળામાં સ્થગિતતાના પ્રતીક તરીકે વપરાય છે. ચાહે પૂર્વ હોય કે પશ્ચિમ, ઘરના કોઈક ખૂણે કરોળિયાનું જાળું નજરે પડે એ સાથે જ તેને હટાવવાનો ઉદ્યમ આરંભી દેવાય છે. એટલે કે કરોળિયો, એનું જાળું અને એનાં ગુણો કવિતા પૂરતા સારા. વાસ્તવ જીવનમાં એનો કશો ખપ નથી એમ માનવું. એમાંય દિવાળી પહેલાંના દિવસો એટલે રીતસર કરોળિયાનાં જાળાં સાફ કરવાનો કાર્યક્રમ.

તસવીર સાંદર્ભિક છે –
સ્રોત : ઇન્ટરનેટઆગામી ત્રણ મહિના એટલે કે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધી આમસ્ટર્ડામના એક સ્થળે કરોળિયાનાં જાળાં સાફ કરવા પર પાબંદી મૂકાઈ છે. તેનું કારણ રસપ્રદ છે. અહીંના રાઈક્સ મ્યુઝિયમમાં વીતેલા સમયના રેમ્બ્રાં, વર્મીઅર જેવા મહાન ચિત્રકારોની કૃતિઓ પ્રદર્શિત છે. કોઈ મ્યુઝિયમમાં કરોળિયાનાં જાળાં હોવાં આવકાર્ય ન ગણાય. પણ ટોમસ સારાચેનો નામના એક કલાકારે આ મ્યુઝિયમમાં કરોળિયાની આ કૃતિઓને આવા ઉત્તમ કલાકારોની કૃતિની જેમ પ્રદર્શિત કરવાની વિનંતી કરી છે, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તદનુસાર અહીંના સફાઈ કર્મચારીઓને સૂચના અપાઈ છે કે આ સમયગાળા દરમિયાન તેમણે અહીં દેખાતું કરોળિયાનું એક પણ જાળું સાફ કરવું નહીં.
આટલું વાંચીને ઘડીભર એમ લાગે કે કળાના નામે કંઈ પણ તુક્કો ચલાવી દેવાની આ તરકીબ હશે. આવી ધારણા બાંધતા અગાઉ ટોમસ સારાચેનો અને તેના કામ વિશે જાણવું જરૂરી છે. આ કલાકારની વિશેષતા તરતાં શિલ્પ તૈયાર કરવાની છે, જેમાં તેમનો મુખ્ય વિષય પર્યાવરણ સાથે સુસંગતતા જાળવીને સહઅસ્તિત્ત્વ કેળવવાનો છે. વિવિધ આંતરરાષ્ટ્રીય પ્રકલ્પ, ઈન્ટરએક્ટિવ ઈન્સ્ટૉલેશન તેઓ તૈયાર કરી ચૂક્યા છે. તેમની વિશેષ રુચિ કરોળિયામાં અને તેના જાળામાં છે. ‘એરેક્નોફીલીઆ’ નામના એક સંશોધનાત્મક પ્રકલ્પ થકી તેઓ કરોળિયા અને તેના જાળાંને લગતી વિવિધ પ્રકારની કળાત્મક, વૈજ્ઞાનિક અને સૈદ્ધાંતિક વિગતોનો પ્રસાર કરતા રહે છે.
સારાચેનો માને છે કે મનુષ્યો આક્રમક પ્રજાતિ છે. મોટા ભાગનાં અપૃષ્ઠવંશી પ્રાણીઓને તે ‘જીવાત’ કે ‘કીટક’ ગણીને તેનો નાશ કરી દે છે. આજે જ્યાં મકાનો, ઑફિસ કે મ્યુઝિયમો ઊભેલાં છે એ તમામ સ્થળે સદીઓથી આ જીવોનો વસવાટ હતો. આજને તબક્કે નૈતિક અને તાર્કિક રીતે કમ સે કમ એટલું તો થઈ જ શકે કે સહઅસ્તિત્ત્વનો સ્વીકાર થાય. તેમને જોતાંવેંત તેમને કચડી નાંખવા માટે તત્પર થઈ જવાને બદલે તેમની સર્જકતાનો સ્વીકાર થાય અને તેમને જોવાનો એક નવો દૃષ્ટિકોણ વિકસે.
સૂક્ષ્મદર્શક યંત્રો નહોતાં એવે સમયે જીવાત અને અન્ય અપૃષ્ઠવંશી જીવ ડર અને જુગુપ્સા પેદા કરતાં. તેમનું શારિરીક બંધારણ સસ્તન કરતાં સાવ અલગ હોવાને કારણે આમ થતું. તેમને અનિષ્ટ અને ભેદભરમ સાથે સાંકળવામાં આવતાં. વિજ્ઞાને પ્રગતિ કરતાં તેમના શરીરની વિશેષતાઓ, તેમની સર્જનશીલતા અને જીવનશૈલી વિશે જાણકારી પ્રાપ્ત થતી ગઈ. કરોળિયાની કળાકારીગરી વિશે જાણવું સરળ બન્યું. સારાચેનો માને છે કે પ્રત્યેક ઘરમાં સફાઈ બાબતે સહેજ આળસ દાખવવામાં આવે તો કરોળિયાના જાળાંરૂપી કળાકૃતિનું અદ્ભુત પ્રદર્શન આયોજિત કરી શકાય.
સારાચેનોની વાત સહેજ વિચિત્ર લાગી શકે એવી છે, પણ તેમની વાતમાં વજૂદ છે. તેઓ પોતે ચાર અલગ અલગ પ્રજાતિના કરોળિયાનાં જાળાંને પોતાની કૃતિઓમાં પ્રયોજે છે. સારાચેનો અને એરેક્નોફીલીઆ (કરોળિયાપ્રેમી) સમુદાયે અપૃષ્ઠવંશી પ્રાણીઓના હક માટેનો ખુલ્લો પત્ર તૈયાર કરેલો છે, જેમાં રાઈક્સ મ્યુઝિયમના સત્તાવાળાઓને કરોળિયાના તેમજ તેમના જાળાંના હકને પિછાણવા અને તેને આદર આપવાની અપીલ કરવામાં આવી છે.
મૂળ વાત એ છે કે પૃથ્વી પરની કોઈ પણ પ્રજાતિ અલાયદી કે એકલવાયી જીવતી નથી હોતી. અનેક અન્ય પ્રજાતિ અને પ્રણાલિઓ સાથે એ અરસપરસ સંકળાયેલી હોય છે. આથી કોઈ એક પ્રજાતિનું નિકંદન સમગ્ર પૃથ્વીના પર્યાવરણને ખલેલ પહોંચાડે છે, અને એ પણ એવી રીતે કે તેની વિપરીત અસરનો ખ્યાલ ઝટ ન આવે. અપૃષ્ઠવંશી જીવોના સહઅસ્તિત્ત્વ અને તેમના અંગેની સમજણ વિકસાવીને તેમની સાથે પુનર્જોડાણ કરવું જરૂરી બની રહે છે અને આ ઉપક્રમમાં કરોળિયા આદર્શ પણ છે, તેમજ રૂપક પણ! આ સાવ તુચ્છ, નાજુક અને નબળી દેખાતી આ પ્રજાતિ સહસ્ત્રાબ્દિઓથી શી રીતે પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખી શકી છે એ જાણવા માટે તેમના પ્રત્યેની સૂગ દૂર કરવી રહી. સારાચેનો અને એરેક્નોફીલીઆ સમુદાયની આ ઝુંબેશ પ્રશંસનીય છે, કેમ કે, એ રીતે તેઓ છેવટે તો સમગ્ર પૃથ્વીની ખેવના દર્શાવી રહ્યા છે. પણ માનવ એક એવી પ્રજાતિ છે કે એ જેમ સુવિકસીત અને સભ્ય બનતી જાય એમ તે વિનાશના અવનવા અખતરા પ્રયોજે. માનવ માનવનો જાન લેવા તત્પર રહેતો હોય ત્યાં એ કરોળિયાને બચાવવા વિશે વિચારશે એમ માનવામાં ભારોભાર આશાવાદ જોઈએ. ટોમસ અને તેમના જેવા અનેક લોકોમાં આવો આશાવાદ છે એ આનંદની વાત ગણાય.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૪-૧૧ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
દેશી કથાઓ – પરદેશી કથાકારો
નિત નવા વંટોળ
પ્રીતિ સેનગુપ્તા
પોતાના દેશની બહાર , બીજા કોઈ (પશ્ચિમી) દેશમાં જઈને વસેલા કોઈ પણ લેખકો કદાચ એ બે દેશોનાં જીવન અને રીત-રસમોને વણી લેતી કથાઓ લખતા હશે. ઘરથી દૂર ગયેલાંનાં મનની સર્જન-સ્થિતિ કદાચ એવી જ થઈ જતી હશે. સાથે જ, એ પણ જોઈ શકાય છે કે દેશાંતરિત લેખકોની કથાઓ દેશમાં લખાતાં પુસ્તકો કરતાં જુદી પડતી હોય છે – ખાસ કરીને,
કથાવસ્તુની દૃષ્ટિએ. મોટા ભાગની એ કૃતિઓ કૈંક વિચિત્ર, વિલક્ષણ, ક્યારેક તો હેતુપૂર્વક આઘાતજનક બનાવાયેલી હોય તેવી લાગે છે. શાથી થતું હશે આવું? દેશની બહાર રહેનારાં દેશના જીવનની ગતિ-વિધિનાં વહેણની પણ બહાર હશે, તેથી? કે પછી, પરદેશમાં હોવા-રહેવાને કારણે કશી “સાહસિકતા? અનુભવાતી હશે, તેથી?આવાં લેખકો તેમજ તેમની કૃતિઓ ઘણી વાર તરત ભુલાઈ પણ જતાં હોય છે. જો એકાદ સમાલોચના કોઈએ કરી હોય તો તેનું મૂલ્ય સાહિત્ય ક્ષેત્રમાં એતિહાસિક પરિપ્રેક્ષ્યની દૃષ્ટિએ જ રહી જતું જણાય છે. સામટાં આવાં કેટલાંક પુસ્તકો વિષે જાણવા મળ્યું નથી. એ દરેક સર્જક ભારતીય, કે બહુ જાણીતા, પણ આ દરેક જ્ણે ભારતનાં વિવિધ પાસાંને જે રીતે કથાનક માટે પસંદ કર્યા છે તે જોવું રસપ્રદ બને છે.
લી સીંગલ નામના એક અમેરિકને પોતાના પુસ્તકમાં વિદ્વત્તા, આત્મકથાનક તેમજ કલ્પિત તત્ત્વને ભેળવ્યાં. એ પોતે એક તરફ ધંધાદારી જાદુગર છે, ને બીજી તરફ અમેરિકાના એક મહાવિદ્યાલયમાં “ધર્મ”ના પ્રાધ્યાપક છે. એમણે ભારતમાં વિનોદ અને જાદુ વિષય પર વિદ્વત્તાપૂર્ણ પુસ્તકો લખ્યાં છે. પ્રસ્તુત પુસ્તકની શરૂઆત થાય છે રાજીવ ગાંધીની કરપીણ હંત્યાના ઘૃણાસ્પદ વર્ણનથી.
લેખક ભારતીય સાહિત્યમાં ભયંકર અને જુગુપ્સાનાં તત્ત્વો પર સંશોધન કરવા વારાણસી ગયા છે. કોઈ એમને ચારણ જેવા ફરતા વાર્તાકાર વિષે જણાવે છે, કે જે લોહી ચૂસતા પ્રેતની વાર્તાઓ કહેતા ફરતા હોય છે. પણ લેખક એમને મળી નથી શકતા. છેવટે લેખક કલ્પનાથી એ પાત્ર ઘડી કાઢે છે, ને પછી પોતે જ લખતા જાય છે વાર્તાઓ – ભય પમાડે તેવી, એકમેક
સાથે સંકળાયેલી, રાજા વિક્રમ અને વૈતાળની વગેરે. રાજકારણ, વાસ્તવ ને કલ્પના – એમ ત્રિવિધ સૂત્રોથી વણાયેલી કથાઓ જીવનની અકલ્પ્ય મુસીબતો પ્રત્યે અપાતી ભારતીય પ્રતિક્રિયાનાં ઉદાહરણ પૂરાં પાડતી રહે છે.વિક્રમ ચંદ્રા પોતાની અંગ્રેજીમાં લખાયેલી “લાલ પૃથ્વી અને ધોધમાર વરસાદ” નામની નવલમાં ત્રણ સદીઓ અને ત્રણ દેશો – અમેરિકા, ઇગ્લંડ, ભારત -ને સાંકળે છે. સાડા પાંચસો પાનાંની એ પ્રથમ નવલકથાને જાણે હજાર ખંડ છે, દરેકમાંથી જુદું દૃશ્ય દેખાય છે, દરેકમાં એક નાયક છે, દરેક નાયકનું એક કાર્યક્ષેત્ર છે. એટલા જ ખલનાયક પણ છે, તેમજ શસ્ત્રો, શોણિત, સાક્ષાત્કાર અને જાદુ પણ એમાંથી બાકાત નથી. એક પ્રકારની ‘અરેબિયન નાઇટ્સ’ જ જાણે. ખૂબ ટૂંકમાં કથાવસ્તુ આમ છે : મુખ્ય પાત્ર અભય રજાઓમાં અમેરિકાથી ભારત આવ્યો છે. માતા-પિતાને ત્યાં એનું પેન્ટ ચોરી ગયેલા વાનરને એ મારી નાખે છે. યમરાજ એને લેવા આવે છે. બીજા દેવો પણ આવે છે. વાટાઘાટો પછી એમ નક્કી થાય છે કે જો અભય અને એનું કુટુંબ રોજ બે કલાક વાર્તાઓ કહીને દેવોને સંતોષી શકે, તો વાનર જીવતો રહી શકે. એ વાનર આગલી કોઈ જિંદગીમાં સંજય નામનો કવિ હતો. તે પોતે જ એ વાર્તાઓ ટાઇપ કરવા બેસી જાય છે. મોટેથી વંચાતી-બોલાતી વાતીઓ સાંભળવા શ્રોતાઓ વધતા જ જાય છે, ને આખા મેદાનને ભરી દે છે. લોકોની રોજિંદી જિંદગીની વાતો પણ વચ્ચે વચ્ચે મુકાતી જાય છે. અભય અમેરિકા વિષેની વાતો કર્યા કરે છે, તો સંજયની પોતાની વાતોમાં તો અવનવા સંજોગો બને છે – હાથી સાથેના અકસ્માત, જાદુઈ આગ વગેરે. અંતે લેખક વિક્રમ ચંદ્રનું કહેવું એમ છે કે કોઈ પણ બાબત અગે એક જ રજુઆત ના હોઈ શકે, અને જો લાંબી લાંબી વાતી હોય તો જ ટકી રહેવાય.
અનિતા દેસાઈ નામનાં, અમેરિકામાં વસતાં, જર્મન-ભારતીય લેખિકાની “જર્ની ટુ ઈથાકા” નામની નવલકથામાં ગદ્ય બહુ સરસ છે, પણ એ જાણે કથાતત્ત્વને શોધી રહ્યું છે. લેખિકા-ને જ જો પાત્રોની પડી ના હોય તો વાચકોને શું કામ હોય? પશ્ચિમના લોકોમાં પૂર્વીય આધ્યાત્મવાદ માટે પ્રેમાદરના જે ભાવ હોય છે તે સમજવા માટે એમણે ઘણાં પુસ્તકો વાંચ્યાં
હતાં, પણ એનાથી એમનાં પાત્રોને અથવા પુસ્તકોને ફાયદો થયો જણાતો નથી. મુખ્ય પાત્ર-સ્થાને એક યુરોપી યુગલ છે. ભારત આવીને એ પુરુષ ફકીરો, સ્વામીજીઓ ને આશ્રમોમાં ખુંપી જાય છે. એની પત્નીને એમાં રસ નથી પડતો. પછી પુરુષ “માતાજી” નામના ગુરુમાં સંપૂર્ણપણે માનતો થઈ જાય છે. આખી દુનિયામાં એમના ભક્તો છે, પણ પત્નીને શંકા છે કે માતાજી કોઈ ઢોગી વ્યક્તિ તો નથી ને. એની ખાતરી કરવા એ મથે છે, પણ અચાનક, બાળક જન્મતાં એ સ્ત્રી શોધ છોડી દે છે. અચાનક, કથાનક પણ રખડી પડતું લાગે છે. વાતી જાણે અધરી રહી જતી લાગે છે.લેખિકા રુથ પ્રાવર ઝાબવાલા તો ઘણી જાણીતી વ્યફિત છે. મર્ચન્ટ-આઈવરીની ફિલ્મો માટે એમણે ઘણાં કથાનક લખ્યાં છે. એમની છેલ્લી નવલકથા “સ્મરણની કરચો?” જાણે ફિલ્મ માટે જ લખાઈ છે. પાત્રો એટલાં બધાં છે કે એમનાં નામ, કામ, સંબંધોનો ખ્યાલ રાખવો અઘરો બને છે. વળી, એમાં પૂર્વ અને પશ્ચિમનાં સ્થાનો છે, અને બંને બાજુની વિભિન્ન
લાગણીઓ પણ નિરુપાઈ છે. જુદાં જુદાં પાત્રો તરફનો લેખિકાનો અનાદર અથવા સ્નેહ સ્પર્ષ બનતો રહે છે. આ નવલમાં પણ એક ધર્મગુરુ છે, જે ફકૂત “માસ્ટર” તરીકે ઓળખાય છે, ને એમને વિષે પણ એ સાચા છે?, સારા છે?, દભી છે?, ગાંડા છે? જેવા પ્રશ્નો ઊભા થતા રહે છે.એ.બી.યેહોશ્વા નામના લેખક ઈઝરાયેલી છે, અને વાર્તાઓ અને નવલકથાઓમાં ઈઝરાયેલની રોજેરોજની જિંદગીની વાસ્તવિકતા નિરૂપે છે. “ઓપન હાર્ટ” નામની એમની પાંચમી નવલ ભારતમાં ઘટે છે. એનું કથાવસ્તુ ભારતીય ધર્મતત્ત્વ, યાત્રીઓની શ્રદ્ધા, આત્માનું દેહાંતરણ વગેરે બાબતો પર આધારિત છે. નાયક બેન્જામિન રુબિન તેલઅવીવની હૉસ્પિટલમાં સર્જન છે, એક ઈઝરાયેલી દરદીની સંભાળ લેવા ભારત જાય છે, એ દરદીની માતા ડોરીના પ્રેમમાં પડે છે; સાથે જ, ભારતની રહસ્યમયતાથી સંપૂર્ણપણે અભિભૂત થઈ જાય છે, અને સમય સાથે હોડ કરવાનું છોડતાં શીખે છે.
ઇગ્લંડમાં વસતા પાકિસ્તાની લેખક હનીફ કુરેશીએ એમની નવલ ‘બ્લેંક આલ્બમ’માં મૂળ પાકિસ્તાનના, ને હવે બ્રિટનમાં વસતા મુસ્લિમોની વાત લખી છે. નાયક શાહિદ હસન પૂરો અંગ્રેજ, કે પ્રો મુસ્લિમ, કે પૂરો પાકિસ્તાની પણ નથી. જાણે લેખકનું પોતાનું, તેમજ યુવાન પાકિસ્તાની-બ્રિટિશના માનસિક સંઘર્ષોનું પ્રતિબિંબ આમાં મળે છે. વાસ્તવિક અને
સમકાલીન જીવન દર્શાવતી આ એક આધુનિક સાહિત્યિક કૃતિ છે.ચિત્ર-વિચિત્ર કથાઓ લઈને, કેંક અજમાયેશ, અખતરા કે પરદેશમાં વેચાણના ખ્યાલ સાથે લખાતી, વક્રોફિત કે કટાક્ષના ઉદ્દેશવાળી કૃતિઓ દ્વારા, હંમેશાં, સારું સાહિત્ય વાંચ્યાનો સંતોષ નથી મળતો હોતો.
સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે
-
બીનસરનું પ્રાકૃતિક સૌંદર્ય અને પર્સ પ્રકરણ
નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ
આશા વીરેન્દ્ર
બીનસરનાં પ્રાકૃતિક સૌંદર્ય વિશે ઘણું સાંભળેલું. વળી ત્યાં અગાઉ જઈ આવેલા લોકોએ એમ પણ કહેલું કે ત્યાં લાઈટ નહીં હોય એટલે દિવસનાં અજવાળે અજવાળે પહોંચી જવું જ સારૂં. આ બધું વિચારીને રસ્તામાં ક્યાંય સમય ન બગાડતાં સાંજના ચારની આસપાસ અમે ત્યામ પહોંચી ગયાં.
કુમાઉ નિગમનાં ગેસ્ત હાઉસમાંથી જે પ્રકૃતિ દર્શન કરવા મળતું હતું એણે અને બગીચામાં પૂરબહારમાં ખીલેલાં અવનવાં, અગાઉ કદિએ જોયાં પણ ન હોય એવાં, ફૂલો એ ‘લવ એટ ફર્સ્ટ સાઈટ’નો અનુભવ કરાવી દીધો. રાત્રે હજુ જમવાનું પતે ન પતે ત્યાં તો ‘બત્તી ગુલ’ થઈ ગઈ. રાત્રે સૌ ભેગાં મળીને બેસશું, ‘ગપ્પાં’ મારીશું અને ગીતો લલકારીશું એવાં કરેલા વિચારો પણ બત્તીની સાથે જ બુઝાઈ ગયા. ‘રાતે વહેલા જે સૂએ, વહેલા ઊઠે તે વીર’ વાળી ઉક્તિનો પરાણે અને કંઈક કમને અમલ કરવો પડ્યો.

બીનસરનો અદ્ભૂત સૂર્યોદય જોકે જે વીરો અને વીરાંગનાઓ વહેલાં ઊઠી શક્યાં, તેમને દિલ ખુશ થઈ જાય એવો સૂર્યોદયનો અદ્ભૂત નજ઼ારો જોવા મળ્યો. પળેપળ બદલાતી રંગછટા, વિદાય લેતી કાલિમા અને ધીરગંભીર પગલે અવતરી લાલિમાને જોઈને ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ એ ચિરંજીવ ગીત સ્મૃતિપટ પર ઊભરી આવ્યું.
ચા નાસ્તો પતાવીને હવે પછીના રાત્રિપડાવનાં સ્થાન લોહાઘાટ જવા માટે ઊચાળા ભર્યા.
– પર્સ પ્રકરણ –
ત્રણેક કલાકની મુસાફરી બાદ જોગેશ્વરનાં મંદિરે પહોંચવાનું હતું. એકાદ કલાક જેટલું આગળ વધ્યાં હઈશું, ત્યાં મને ફાળ પડી ‘હાય, હાય મારૂં પર્સ?’ તે સાથે જ સહપ્રવાસીઓના ચહેરાઓ પર આશ્ચર્યો, પ્રશ્નો અને મુંઝવણોની રેખાઓ ઉપસવા લાગી. જોકે સારૂં થયું કે ‘પર્સમાં પૈસા હતા? … કેટલા હતા?’ જેવા સવાલ મને કોઇએ પૂછ્યા નહીં. એ સવાલોનો સાચો જવાબ આપતાં મારી (અને સાથે મારા પતિ વીરેન્દ્રની પણ) આબરૂના વટાણા વેરાઈ જાય તેમ હતું. જોકે આટલા લાંબા પ્રવાસે નીકળેલી એક મહિલાના પર્સના ખજાનામાં બીજાં, વધારે, મહામૂલાં રત્નો ન હોય એ તમારી કલ્પના અહીં પણ સાવ સાચી જ છે !
મારાં પર્સમાં પણ, મુસાફરી દરમ્યાન કદાચ જરૂર પડે તો હાથવગાં નીવડે એવાં અનેક શસ્ત્ર સરંજામનો અક્ષય ભંડાર ભર્યો હતો. પર્સનાં એક ખાનામાં ચપ્પુ, કાતર, ચાંદલાનું પૅકેટ, સેફ્ટી પિન, રબર બેન્ડનું બંડલ, વગેરે હતાં તો બીજાં ખાનામાં પાવડરની ડબ્બી, ગોગલ્સ, જાત જાતની દવાઓ, મુખવાસનાં પૅકેટ હતાં. તો વળી ત્રીજાં ખાનામાં મોબાઈલ, પાન કાર્ડ, અધાર કાર્ડ એવું કંઈ કંઈ ભર્યું હતું. ધાર્યે સમયે આમાંની એક વસ્તુ પણ ન મળે તો હું તો સાવ આધાર વિનાની જ થઈ જાઉં !!
આવાં મહામૂલાં પર્સને શોધવા આ પહાડી પ્રદેશના વાંકાચૂંકા, ઉબડખાબડ રસ્તાઓ પર ફરી પાછા જવું એનો સીધો અર્થ હતો કે હવે પછીના મુકામે પહોંચવાના સમયનું ત્રણથી ચાર કલાકનું આંધણ! તે ઉપરાંત વધારામાં એ આખો સમય ‘એટલી ખબર ન પડે?’, ‘પર્સ જેવું પર્સ એમ તે કેમ ભૂલી જવાય?’, ‘બધાંની મજા બગડી ને !’ જેવા અન્ય પ્રવાસીઓના પ્રગટ કે અપ્રગટ કચવાટ અને ગુસ્સાના ધુંધવાટ, ચુપચાપ સહન પણ કરવા પડે.
આ બધી કલ્પનાઓથી મારૂં મન થથરી જતું હતું. તો પણ શિયાંવીયાં થતાં થતાં, હિંમત એકઠી કરીને ડ્રાઈવરની હળવેથી સૂચના આપી, ‘ ભૈયા, ગાડી થોડા સાઈડ પર કર લેંગે?’ ગાડી ધીમી પડીને હજુ તો બાજુએ પહોંચી જ હતી ત્યાં પાછળ પાછળ આવી રહેલી ગાડીમાંથી અંજુબેને બારીમાંથી હાથ બહાર કાઢીને મારાં પર્સને ઝુલાવતી સબ સલામતની છડી પોકારી. તે સાથે જ, મારા જ નહીં, અમારી ગાડીનાં સાથી પ્રવાસીઓના પણ, જીવમાં જીવ આવ્યો.
મને તો ફ્લેશ લાઈટ થઈ જ ગઈ કે હોટલથી નીકળતી વખતે બધી ગાડીઓમાં ચીકીના પૅકેટ વહેંચવા ગઈ ત્યારે પર્સ હોટલનાં પગથિયાં પર મૂકેલું, અને પછી ત્યાં જ ભૂલી ગઈ હતી ! ભલું થજો અંજુબેનનું કે તેમણે એ પર્સ જોયું અને સાથે લઈ લીધું, અને મને ઘોર સંકટમાંથી ઉગારી લીધી. અમારી ગાડી પણ હવે ફરીથી રસ્તા પર આવી ગઈ હતી, એટલે મનોમન વિચાર્યું કે મહાદેવનાં મંદિરે જતાં વેંત ભોળા શંભુને અંજુબેન પર પ્રસન્ન રહેવાની પ્રાર્થના કરી જ લઈશ !
– ઈતિ પર્સ પ્રકરણ –
ક્રમશઃ
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
નિશાળનો તરવરાટ
વાર્તા મેળો ૪
– વાર્તા સોળમી –
મનીષાબેન મોહનભાઈ રાઠોડ
સાગરવાડાના નાકે, મીરા દરવાજા
ઈડર ૩૮૩૪૩૦વાર્તા મેળો ૪ – વાર્તા સોળમી – નિશાળનો તરવરાટ – મનીષાબેન મોહનભાઈ રાઠોડ
સંપર્ક : દર્શા કિકાણી – darsha.rajesh@gmail.com
-
મારી કલ્લુ
દર્શના ધોળકિયા
મારા વહેતા રહેલા જીવનપ્રવાહમાં અનેક ચહેરાઓ મારી સમક્ષ આવતા રહ્યા, મારામાં ભળતા રહ્યા ને જાણે મારા ચહેરામાં પરિવર્તિત થતા રહ્યા, એ ચહેરાઓ હતા બા, ભા (પિતા), ભાઈઓ, મિત્રો, સ્વજનોના; મારા કુશળ તબીબોના; પ્રિય વિદ્યાર્થીઓના; પડોશીઓના ને કેટલાક અજાણ્યાઓના – દૂર રહીને પોતીકા સાબિત થયેલાઓના.
આ સૌની વચ્ચેથી પોતાનું નાનકડું મુખ મારી સામે તાકીને બેઠેલો એક મૂક ચહેરો આજેય મને સાદ કરીને મારા તાર રણઝણાવતો પ્રત્યક્ષ થઇ ઊઠે છે. એ છે મારી સાથે જ જન્મેલી – મારાથી એક વર્ષ નાનેરી ને મારી લગોલગ બે દાયકા વસીને મને પોતાનો સહવાસ અર્પીને વિલીન થયેલી મારી અત્યંત પ્રિય મારી બિલ્લી કલ્લુનો.
કલ્લુની વાત માંડતાં મારી સમક્ષ આજેય તેનો નિર્દોષ, રમતિયાળ, નમણો ચહેરો સ્મૃતિમંજૂષામાંથી કૂદીને બહાર આવે છે. ભૂખરા દેહ પર કાળાં ટપકાં, લીલી ગોળ આંખો, પોચું પોચું ગુલાબી નાક, મુલાયમ ત્વચા, વેધક નજર, શિકારીનું ચાપાલ્ય, તીવ્ર ગતિ ને સતર્ક શ્વાસોચ્છવાસથી ધબકતું પેટ !આમ તો અમારા પરિવારમાં ક્લ્લુની પૂર્વજ પરંપરા ચાલી આવેલી. એની મા, માતામહી પણ અમારે ઘેર જ મોટાં થયેલાં. કલ્લુનાં આ વડીલોના અમારા પર અવિસ્મણીય ઉપકારો હતા. સ્મૃતિમાં સચવાયેલો એક બનાવ યાદ કરું તો બાએ કહેલું તેમ, મારો સૌથી મોટો ભાઈ, જે સવા વર્ષની ઉંમરે જ મૃત્યુ પામેલો – તે જયારે ચાર-પાંચ માસનો હતો ત્યારે બા એના નિયમ મુજબ વહેલી સવારે કપડાં ધોવા તળાવે ગયેલી. ઘરમાં કોઈ ન હોવાથી બાએ દરવાજે તાળું મારેલું. થોડી વાર પછી બા ઘેર આવી ત્યારે ઓરડાનું દ્રશ્ય જોઇને અવાક થઇ ગયેલી. એ સમયે અમારું ઘર લીંપણવાળું. ઘરમાં સાપ આદિ સરીસૃપોની આવન – જાવન સહજ. બાની ગેરહાજરીમાં ઓરડામાં સાપ ચડી આવ્યો ને કલ્લુની નાનીમાએ ચીલઝડપે સાપને પકડીને તેનો ખાતમો બોલાવી દીધેલો. બા આવી ત્યારે અમારી આ મોટેરી બિલ્લી સાપના મૃતદેહ પાસે ભાઈના પારણાને રક્ષતી ઘૂરકતી બેઠેલી. બાના આવ્યા પછી જ એ જગાએથી ખસીને રમવા ચાલી ગઈ. આ ઘટના બા પાસેથી સાંભળ્યા પછી કલ્લુને હું જુદી નજરે જોતી થઇ.
મારાથી એક વર્ષ નાનેરી કલ્લુ મારી છ વર્ષની ઉંમરે પાંચની થયેલી. તેની જુદી જુદી રમતોથી એ મને ખુશ કરી દેતી – જાણે મારું જીવતું રમકડું !
અમે બંને સાથે જ ઉછરતાં રહ્યાં. ધીમે ધીમે કલ્લુ કિશોરાવસ્થામાંથી યૌવન ભણી ડગ માંડતી રહી. મારી બાર-ચૌદની ઉંમરે એ તો પુખ્ત થઇ ગયેલી. જાતભાતના બિલાડા એનાં રૂપ – સૌંદર્ય પર મુગ્ધ થઈને એની આસપાસ મંડરાતા રહેતા. પણ એમ જલ્દી કોઇને ગાંઠે એ મારી કલ્લુ નહીં ! કાળું ડિબાંગ શરીર ને ધોળા ધોળા પગવાળા એક બિલાડા પર માંડ માંડ તેની નજર ઠરેલી.
હું શાળાએથી પાછી ફરું ત્યારે એ બંને ગુજગોષ્ઠી કરતાં આંગણામાં ક્યાંક લપાઈને બેઠાં હોય. કાળિયો કલ્લુની ખુશામદ કરતી મુદ્રામાં ઊભો હોય ને કલ્લુ ભલે ઘૂરકતી હોય પણ એના ચહેરા પર સ્વામિની હોવાનો આનંદ લીંપાયો હોય. કાળિયો હિંમત કરીને જેવો કલ્લુને સ્પર્શવા જાય કે તે ભેગી ટટ્ટાર થઈને કલ્લુ એને એવો તો નખ ભરાવે કે કાળિયો અમારા નળિયાં પર ટપ મારીને જે ભાગે ! એ બંનેના આવા અવનવા મિજાજ જોઇને હું મારી કલ્લુનો પક્ષ લેતાં બિલાડાની પાછળ દોડું ત્યારે બા મને વારતી, ‘એને રમવા દે, એ લોકો આમ જ રમે. એની પ્રેમ કરવાની આ રીત છે, આપણને એ ન સમજાય.’ વર્ષો પછી આસપાસ-ચોપાસના જગતમાં સ્વજનો-મિત્રોનાં દામ્પત્ય ને જોયા પછી કલ્લુની પ્રેમલીલા હું સમજી શકેલી ને મનોમન એનામાં રહેલાં સ્ત્રી સશક્તિકરણના મિજાજને, પ્રેમિકાના લાલિત્યને, પ્રાણીઓને પણ અપેક્ષિત પ્રેમની હૂંફ ઓળખતી ગઈ.
પોતાના બચ્ચાંને કલ્લુ ખૂબ ચાહતી. બાળઉછેરની તાલીમ લેતાં તો કોઈ કલ્લુ પાસે શીખે ! બચ્ચાંને રમાડે, એના સાથે છૂપછૂપામણીની રમત માંડે ને એ નિમિત્તે એને દોડાવે, શિકાર કરતાં શીખવે, પોતે બચ્ચાંઓ માટે શિકાર હાજર કરીને એને જુદા પ્રકારનો અવાજ કાઢીને નિમંત્રે. ને એ જે શિકાર માટે એ સામાન્ય રીતે ટળવળતી હોય એ શિકાર બચ્ચાં આવ્યા પછી એની સેવામાં ધરી દે ને બચ્ચાંઓને શિકાર ઉડાવતાં જોઇને એના ચહેરા પર લીંપાતી દીપ્તિમાં એનું માતૃત્વ ઝળહળી ઊઠે.
મારા પરિવારને કલ્લુ ખૂબ ચાહે પણ મારી તો વાત જ જુદી. મારે માટે એ મરી પડે. હું શાળાએ જવા તૈયાર થાઉં ત્યારે મારે પગે ઘસડાતી રહીને મારી લગોલગ દોડ્યા કરે; હું ઓરડામાં કામ કરતી હોઉં તો બારણે બેસીને મારી રાહ જોયા કરે; બહાર જાઉં તો છેક ડેલી સુધી મને વળાવવા આવે તે મને બહાર જાતી જોઇને નિમાણી થઈને ઘરમાં પાછી ફરે.
અમારી ઓસરીને મોટો ઉંબરો. જૂના જમાનાનું અમારું વિશાળ ઘર. વિશાળ દરવાજો, જેનો ઉંબરો ઓળગીને અંદર આવવું પડે. એ ઉંબરા પોતાના બે પગ બહાર ને બે અંદર રાખીને કલ્લુ આખો દિવસ ગોઠવાઈ ને બેઠી જ હોય. કોઈ અજાણ્યું જણ આવે તો ઊભી થઈને આખા દેહને ઊંચો કરીને જે ઘૂરકાટ કરે ! તેના બધાં રૂંવાડા ઊભાં થઇ જાય ને એની ગોળ લીલી ચળકતી આંખો ઊભી લાંબી લીટીમાં રૂપાંતરિત થઇ જાય. પણ જેવી હું ડેલીમાં પ્રવેશું કે તરત મારો ફ્રોક દાંતમાં લઈને હરખાઈને મને વળગી પડે. જાણે વર્ષો પછી મળતી ન હોય ! જમવા બેસું તો ઊભે પગે બાજુમાં ગોઠવાય; લેસન કરવા હું નીચે જ બેસું ને નીચી નમીને લખતી હોઉં ત્યારે મારી પીઠ પર ખુરશીની જેમ પથરાઈને બેસી જાય. રાત્રે મારી ને બાની સાથે જ પથારી થાય જેમાં એ પણ અમારાં ભેગી જ શયન કરે. ક્યારેક તો એની પ્રસુતીય અમારી પથારીમાં થયાનું મને યાદ છે. (કલ્લુનો મારા પર એકાધિકાર હોવાથી જ સ્તો !) ક્લ્લુએ ગંદા કરેલાં ગોદડાંને ધોવા કાઢતાં બા ક્યારેક મારા પર અકળાય. હું ક્ષણિક ગરીબડી થઇ જાઉં પણ કલ્લુને હડસેલવાનું મને ક્યારેય ન રૂચે. બા અને મારો આખોય પરિવાર કલ્લુને ખૂબ ચાહે. કલ્લુ પણ ઘરના કોઈ પણ સભ્યને ઘરમાં આવતું જોઇને હરખભેર દોડીને તેને સત્કારે. અમારા સૌની આસપાસ ફરતાં એને થતો આનંદ એના હળવા ઘુરકાટમાં ને એના થરકતા દેહ દ્વારા વ્યક્ત થયા કરે.
કલ્લુની સચ્ચાઈ ને વફાદારીની પરીક્ષા અનેકવાર અનાયાસ થવાનું મને સાંભરે છે. ઘણીવાર રસોડાના ચૂલે ને પછી સગડીએ ગરમ કરેલું દૂધ ઠંડુ થવા મૂક્યું હોય. તપેલી પરનું છીબું અધૂકડું ઢાંકયું હોય. છીબાની આડશમાંથી દૂધ દેખાતું હોય. કલ્લુ રસોડાની ઓટલી પર બે પગે ઊભી રહીને લાલચુ નજરે દુધને નિહાળતી હોય પણ એ દુધમાં મોં નાખે એ બીજા ! બા કે ભાભીઓ કે હું એની ઉતાવળને ધ્યાને લઈને રકાબીમાં એને દૂધ પીરસીએ ત્યારે જ કલ્લુ એ દૂધ સ્વીકારે. ચોરીછૂપીથી કલ્લુએ દૂધ મોઢે માડ્યાંનું ક્યારેય બન્યું નથી.
હા, અમારા સંગમાં એને ગાંઠિયા, બિસ્કીટ ને અન્ય ફરસાણનો ખાસ્સો ચસકો લાગેલો. બાજુમાં પડેલી રોટલી છોડીને પોતાના ઝીણા દાંતથી કલ્લુ જે લિજ્જતથી ગાંઠિયા ચાવતી હોય!
આવી મારી પ્રિય કલ્લુ, છેક એના અઢારમાં વર્ષે માંદી પડી. ધીમે ધીમે તેનું હૃષ્ટપુષ્ટ શરીર ઘસાવા માંડ્યું. તેની ક્ષીણ થતી કાયા મનેય પેન્સિલની જેમ છોલતી રહી. છેલ્લા દિવસોમાં એ પાણીની આસપાસ પડી રહેતી.
હું એને વારંવાર બોલવું ત્યારે માંડ માંડ મીંચેલી આંખો અધૂકડી ઉઘાડીને એની માંદલી નજર મારી સામે એ ઠેરવતી. તેનું ચાપલ્ય, તેની સૂંવાળપ અદ્રશ્ય થતાં ગયાં.
એક સવારે મેં ઊઠીને જોયું તો કલ્લુ પથરાઈને આંગણાની વચ્ચોવચ્ચ સૂતી હતી- છેલ્લીવાર. એનાં મારા પર હંમેશાં મંડાયેલાં રહેતાં નયન મીંચાઈ ગયાં હતાં. જે આંગણાંને એણે બબ્બે દાયકા સુધી ખૂંદ્યું હતું ત્યાં જ એનાં ચપળ ચરણોની ગતિ વિરામ પામી હતી. હા, એ હતી શરદપૂર્ણિમાની સવાર. મારી કલ્લુએ રાસલીલાની પ્રભાતને નિર્વાણ માટે પસંદ કરીને એની સ્વામીભક્તિને સાર્થક કરી દીધી.
કલ્લુને સ્તબ્ધ બનીને જોઈ રહેલી મને ઢંઢોળતાં બાએ કહેલું, ‘તું એની માંદગી નહોતી જોઈ શકતીને ? એથી જ એ શાંત થઇ ગઈ. હવે પછી અનુભવવાનાં અનેક મૃત્યુની તું આજે જ તાલીમ લઇ લે. જેથી પ્રિયજનની વિદાયની ટેવ પડે, અમે બંને એકબીજાનો હાથ હાથમાં લઈને કલ્લુને આંખથી પંપાળતાં રહ્યાં.
થોડીવાર પછી શેરી વાળવા આવેલાં બહેનને ઘરમાં તેડી લાવીને બાએ કહેલું, ‘અમારી બિલાડીને ઘસડીને કે ઊંચકી ને ન લઇ જશો. તેને માનભેર ડબ્બામાં મૂકીને ઊંચકજો. મારી દર્શના તેને કોઈ પશુની જેમ લઇ જવાતી જોઈ નહીં શકે.’ કલ્લુને બાનો આ અંતિમ અર્ઘ્ય હતો.
કલ્લુ પછી હું મારી અંદર વસેલી મારી પ્રિયમાં પ્રિય વ્યક્તિઓને જતી જોતાં બાને સ્મરું છું.
મૃત્યુને મેં પહેલુંવહેલું જોયેલું મારા પિતાનો હાથ હાથમાં લઈને મારા ઘરમાંથી નીકળતું, ને પછી એ સીધું આવ્યું મારી કલ્લુને શાંતિ અર્પવા – શરદપૂનમની એ સવારે, મારી ઓગણીસની ઉંમરે. એ રાત્રે રાસલીલા આરંભાય ત્યારે એમાં જોડાવા માટે મારી આ અહીં ભૂલી પડેલી ગોપી ઉપડી ગઈ એના અસલી પ્રિયતમના સંગાથને માણવા.
કલ્લુ પછી કોઈ બિલાડીએ અમારા ઘરમાં આસન જમાવ્યું નથી. ઘરમાં આવતાં આગંતુક બિલાડાં ક્ષણિક મારા પર નજર માંડે છે ત્યારે એની આંખમાં હું કલ્લુની ભક્તિ શોધવા મથું છું. ચાલીસ વર્ષો દરમ્યાનની પછીથી આવતી રહેલી શરદપૂર્ણિમાઓની ચાંદની નિહાળતી વેળા એના પર છવાઈ જતું કલ્લુના મૃત્યુનું ધુમ્મસ મારાં ચંદ્રદર્શનને આજેય ધૂમિલ બનાવી દે છે.
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
નોંધ: તસવીર સંદર્ભાત્મક – નેટ પરથી સાભાર
-
પરાળ દહનની મોસમી સમસ્યાનો કાયમી કકળાટ
નિસબત
ચંદુ મહેરિયા
રાજધાની દિલ્હીમાં દિવાળી અને તે પછીનો એકાદ મહિનો ભારે પ્રદૂષિત હોય છે. દિલ્હીની શિયાળુ સવાર જ નહીં બપોર પણ ધુમ્મસછાયી જોવા મળે છે. આ સ્થિતિનું કારણ પાડોશી રાજ્યો પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા થતાં પરાળના દહનને માનવામાં આવે છે. ખરીફ ફસલ તરીકે ડાંગરના પાકની કાપણી પછી આગામી રવી પાકની રોપણી માટે ખેતર સાફ કરવા ડાંગરની પરાળ તરીકે ઓળખાતા પાકના અવશેષોને ખેડૂતો બાળી નાંખે છે. તેને કારણે પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. જે દિલ્હીને પણ અસર કરે છે.

સાંદર્ભિક તસવીર નેટ પરથી લીધેલ છે. ખેડૂતો દિવાસળીની બેચાર સળીથી પરાળ સળગાવી દે છે અને આખા દિલ્હીને પ્રદૂષિત કરી મૂકે છે, એવા આરોપ લગાવવામાં આવે છે પરંતુ ખેડૂતો કેમ આ કરે છે તેના કારણોની ખાસ ચર્ચા થતી નથી.
ભારતની હરિયાળી ક્રાંતિએ જે કેટલાક દૂષણો સર્જ્યા છે તેમાંનું એક પરાળ દહન છે. તેને ભૂલાવીને પર્યાવરણના બગાડનો દોષ ખેડૂતોના માથે નાંખી દેવામાં આવે છે. પંજાબ કહેતાં પંજ આબ કે પાંચ નદીઓના આ રાજ્યમાં ભાગલા પછી પાંચને બદલે ત્રણ જ નદીઓનું મહત્તમ પાણી રહ્યું છે.મહેનતુ કિસાનો, શ્રમિકો અને પાણીની છતને લીધે હરિત ક્રાંતિ પછીના પંજાબને દેશના ધાનના કટોરાનું બિરુદ તો મળ્યું પણ રાજ્યને કેટલુંક નુકસાન પણ થયું છે.
હરિત ક્રાંતિ પછીના પંજાબમાં બે વસ્તુઓ ખાસ જોવા મળે છે.એક બોરવેલ અને બીજા હાર્વેસ્ટર. પંજાબના લોકો તેમના ખોરાકમાં ચોખાનો વપરાશ ખાસ કરતા નથી.પણ આ ફૂડ બાઉલ ઓફ ઈન્ડિયા આખા દેશ માટે જાતભાતની ડાંગર પકવે છે. તે માટે પાણીનો વધુ વપરાશ થાય છે. ઉદાહરણ તરીકે ૧૯૯૩-૯૪માં ડાંગરની નવી જાત ‘ગોવિંદા’ ઉગાડવા સરકારી કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને અપીલ કરી. ફલત: ખેડૂતો એક જ ખરીફ મોસમમાં બે વાર પાક લઈને ચોખાનું મબલખ ઉત્પાદન કરવા લાગ્યા.જોકે એક કિલો ‘ગોવિંદા’ ચોખા માટે ૪૫૦૦ લિટર પાણી વપરાતું હતું તે હકીકત પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવ્યા.એટલે ઉત્પાદન અને આવક તો વધ્યાં પણ પાણી ઘટવા માંડ્યું. હતું.
૨૦૦૯માં પંજાબ અને હરિયાણાની રાજ્ય સરકારોએ ભૂગર્ભ જળના સંરક્ષણનો કાયદો ઘડ્યો.આ કાયદા મુજબ દસમી મે પહેલાં ડાંગરની રોપણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કિસાનોને સિંચાઈ માટે વરસાદી પાણીનો જ ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવી. આ રાજ્યોમાં ૨૦૦૯ પૂર્વે ડાંગરની રોપણી એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં થઈ જતી હતી. તેને બદલે હવે જૂનના મધ્ય ભાગમાં થવા લાગી. પાક ચક્ર બદલાઈ જતાં મોડી રોપણીને કારણે પાક મોડો તૈયાર થતાં છેક ઓકટોબરમાં કાપણી થવા માંડી.
અગાઉ સપ્ટેમ્બરમાં પાક તૈયાર થઈ જતો હતો એટલે ખેડૂતોને નવી મોસમની ફસલ ઉગાડવા ખેતરો સાફ કરવા પૂરતો સમય મળી રહેતો હતો. હવે તે સમય મળતો બંધ થયો. કાપણી માટે મજૂરોની અછત અને મજૂરીના વધારે દામને કારણે ખેડૂતો હાર્વેસ્ટરથી ડાંગરની કાપણી કરાવે છે. મશીનો ખેતરમાં ઉભેલા પાકને મૂળમાંથી કાપી શકતા નથી પણ ઉપરનો ભાગ જ કાપે છે. એટલે પરાળ તરીકે ઓળખાતા ડાંગરના એક-દોઢ ફુટના અવશેષો બાકી રહી જાય છે. તેને કાપવા માટે મજૂરો મળતા નથી કે ખેડૂતોને પોસાતા નથી. વળી નવી સિઝન માટે ખેતરો સાફ કરવા પર્યાપ્ત સમય હોતો નથી.એટલે તેઓ પરાળ બાળી નાંખે છે. અગાઉની તુલનામાં હવે ભર શિયાળે પરાળ બાળવામાં આવે છે એટલે પણ પ્રદૂષણની વધુ અસર જોવા મળે છે. પરાળ દહન પાછળની આ ભૂમિકા સમજ્યા વિના પર્યાવરણના નુકસાન માટે પંજાબના કિસાનોને જવાબદાર ઠેરવવામાં આવે છે.
પરાળ સળગાવવાની અસર જમીનની ફળદ્રુપતા પર પણ થાય છે. જમીનમાં રહેલા નાઈટ્રોજન, પોટેશિયમ, સલ્ફર અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો બળી જાય છે. સૂક્ષ્મજીવો પણ મરી જાય છે તેને કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે. એટલે ખેડૂતોને આગામી પાકમાં વધુ રાસાયણિક ખાતર વાપરવું પડે છે. ખેડૂતોના માથે ખર્ચ વધે છે તો સરકારને માથે વધુ ખાતર સબસિડીનો બોજ પડે છે.ખાતરની આયાત વધતાં આયાત ખાધ વધે છે. આમ આ વિષચક્ર ચાલ્યા કરે છે.
દિલ્હીનું પ્રદૂષણ અને પરાળદહન દિલ્હી અને પંજાબમાં ડબલ એન્જિન સરકાર ના હોવાને કારણે રાજકીય વિવાદનો વિષય બન્યો છે. કેન્દ્ર સરકારની સંસ્થા ‘સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ’ (સફર)ના મતે ૨૦૧૮માં દિલ્હીના પ્રદૂષણમાં પરાળદહનનું પ્રમાણ ૩ થી ૩૩ ટકા, ૨૦૧૯માં ૪૪ ટકા હતું. સરેરાશ પ્રમાણ ૨૦ થી ૨૫ ટકા જ હોય છે. એટલે દિલ્હીના પ્રદૂષણનું એકમાત્ર કારણ પરાળ દહન નથી. પરાળ તો મોસમી સમસ્યા છે જ્યારે દિલ્હી તો લગભગ બારેમાસ પ્રદૂષિત હોય છે. દિલ્હીના પ્રદૂષણ માટે વાહનોનું પ્રદૂષણ, ઔધ્યોગિક પ્રદૂષણ, ફટાકડા, ઈંટભઠ્ઠા અને બાંધકામનું પ્રદૂષણ પણ કારણભૂત છે. આઈઆઈટી દિલ્હીનું એક અધ્યયન જોકે એવું તારણ દર્શાવે છે કે દિવાળીના ફટાકડાના પ્રદૂષણની અસર બાર કલાક પછી ઘટી જાય છે પરંતુ પરાળદહનના પ્રદૂષણની અસર ઘણા દિવસો સુધી રહે છે.
દિલ્હીના પ્રદૂષણ માટે ભારે ઉહાપોહ થાય છે કેમ કે તે દેશનું પાટનગર છે પરંતુ જ્યાં પરાળ બાળવામાં આવે છે તે પંજાબ અને હરિયાણાના પ્રદૂષણની તો કોઈ વાત જ કરતું નથી.! પરાળ સળગાવવાથી નિકળતા કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી વાયુની ખરાબ અસર આરોગ્ય પર થાય છે. પરંતુ તે અંગે મૌન સેવાય છે. પ્રદૂષણ ફેલાવવા માટેના આસાન શિકાર તરીકે કિસાનોને દોષ દેવાય છે પરંતુ ખુદ કિસાનો તેના ભોગ બની રહ્યા છે તેનું શું ?
આ સમસ્યાના ઉકેલ માટે કિસાનો, કૃષિ નિષ્ણાતો, કેન્દ્ર અને રાજ્ય સરકારો, વહીવટીતંત્ર તથા નાગરિક સમાજે સાથે મળી પ્રયત્નો કરવા જોઈએ. બેરોજગારીથી પીડિત દેશમાં મજૂરોને બદલે મશીનોનો વ્યાપક ઉપયોગ ટાળવો જોઈએ. વળી મશીનો ખેડૂતોને પરવડે તેવી કિંમતના અને પાકને છેક મૂળમાંથી કાપે તેવા બનાવવા જોઈએ. જેથી પરાળનો પ્રશ્ન જ ન રહે. તે દરમિયાન પરાળનો નિકાલ પણ મશીનોથી કરવાને બદલે મજૂરોથી કરવા અને તેમાં ‘મનરેગા’ લાગુ કરવા વિચારી શકાય. ઓછા સમયે અને ઓછા પાણીથી તૈયાર થતા પાક અંગે સંશોધનો કરવા જોઈએ. પંજાબના ખેડૂતો પર ડાંગરના વિપુલ ઉત્પાદનનું દબાણ ઘટાડવાની પણ આવશ્યકતા છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
દંભી દાન અને પરમ્ ત્યાગનો તફાવત
સમજુતી : આનંદ રાવ
क्षुधा निर्णुदति प्रज्ञां धर्मबुद्धिं व्यपोहति ।
क्षुधापगितज्ञानो घृतिं त्यजति चैव ह ।
बुभुक्षां जयते यस्तु स स्वर्गम् जयते ध्रुवम् ॥ભુખ માણસની બુદ્ધિને કચડી નાખે છે. ધાર્મિક વિચારોને ભુસી નાખે છે. ભુખથી જ્ઞાન લુપ્ત થઈ જતાં માણસ ધીરજ ગુમાવી બેસે છે. જે ભુખને જીતી શકે છે તે સ્વર્ગને પણ જીતી શકે.
કુરુક્ષેત્રના યુધ્ધ પછી વેદ વ્યાસના કહેવાથી યુધિષ્ઠિરે અશ્વમેધ યજ્ઞ કર્યો જેથી વિજેતા “સમ્રાટ”નું પદ મળે. ચારે ભાઈઓને દેશની ચારે દિશાઓમાં મોકલ્યા. એ લોકો બધા રાજાઓને જીતીને અઢળક ધન લુંટી લાવ્યા.
સોનાની ઈટોથી યજ્ઞકુંડ બાંધ્યો. યજ્ઞમંડપને ફરતે સોનાના યુપ(અંગ્રેજી અક્ષર Y આકારના થાંભલા) ઊભા કર્યા. યજ્ઞમાં વધેરવા માટેનાં જુદાં જુદાં ૩૬૦ પ્રાણીઓનાં ડોકાં એમાં બાંધ્યાં. એક પછી એક, શાસ્ત્રોકત રીતે, આ પ્રાણીઓને યજ્ઞમાં હોમ્યાં. છેલ્લે યજ્ઞના અશ્વને પણ વધેરીને (आलभन કરીને) યજ્ઞકુંડની આગમાં હોમ્યો.બ્રાહ્મણોને અબજો સોનામોહરોનું દાન અપાયું. સોમરસ પણ મહેમાનોને છુટથી પીવા મળ્યો. જમણવારમાં રાંધેલાં ધાન્ય અને ઘીની રેલમછેલ
થઈ.યજ્ઞમાં પધારેલા રાજાઓને પણ હાથી, ઘોડા, રથ અને સાથે સ્ત્રીઓ (!?) પણ ભેટ આપવામાં આવી.
યજ્ઞ સમેટાતાં સૌ છુટા પડતા હતા. એટલામાં ઓલવાઈ ગયેલા એ યજ્ઞકુંડ પાસે એક નોળીયો આવ્યો. એનું અર્ધું શરીર સોનાનું હતું. આ નોળીયાને મનુષ્યની જેમ બોલતો સાંભળીને બધા પંડિતોને બહુ આશ્ચર્ય થયું.
“હે ભૂદેવો!” નોળીયો બોલ્યો. “આટલાં બધાં નિર્દોષ પ્રાણીઓની ભયાનક કતલ, ધન અને અન્નનો બેફામ બગાડ કરીને તમને અને તમારા યજમાન રાજા યુધિષ્ઠિરને કેટલું પુણ્ય મળ્યું? આ વિષે તમે કદી વિચાર કર્યો હતો? કુરુક્ષેત્રમાં રહેતા, ઉચ્છૂ-વૃત્તિથી ઉદાર જીવન જીવતા બ્રાહ્મણ કુટુંબની તપશ્ચર્યા, ત્યાગ અને એમણે કરેલા એક શેર સત્તુના દાનની સરખામણીમાં તમારો આ યજ્ઞ અને એમાં અપાયેલાં અઢળક દાનો સાવ વ્યર્થ છે.”
નોળીયાના મોઢે મહારાજ યુધિષ્ઠિરના યજ્ઞની નીંદા સાંભળીને બ્રાહ્મણો ડઘાઈ ગયા. એમણે નોળીયાને પુછ્યું….
“હે નકુળ! કયા બ્રાહ્મણ કુટુંબના દાન, ત્યાગ અને તપ વિષે તમે વાત કરો છો? અમને વધારે જણાવવા કૃપા કરો.”
“સાંભળો. એક બ્રાહ્મણ એમની પત્ની, પુત્ર અને પુત્રવધુ સાથે નાનકડી કુટિરમાં રહેતા હતા. ખેડુતો ખેતરમાંથી પોતાનો બધો પાક લઈ લે ત્યારબાદ એ ખેતરોમાંથી જે કંઈ રડ્યાખડ્યા દાણા મળે તે આ બ્રાહ્મણ વીણી લાવતા. કોઈ વખત મુઠ્ઠીભર દાણા મળે કોઈવાર થોડા વધારે મળે. કોઈવાર કશું ના મળે. એ અનાજના લોટમાં પાણી ઉમેરી સત્તુ બનાવતા અને સંતોષથી ભોજન કરતા. ત્યારબાદ પોતાની તપશ્ચર્યા અને પર-સેવામાં લાગી જતાં. રોજ દાણા વીણીને જીવન નિર્વાહ કરવાની આ રીતને “ઉચ્છૂ વૃત્તિ” વાળું જીવન કહેવાય છે. કોઈવાર દાણા ન મળે તો આખુ કુટુંબ ભુખ્યુ સુઈ જતુ. આ ચારે સભ્યો સંયમી, નિર્મળ મનવાળાં, કોધ અને ઈર્ષા વિનાનાં અને પરગજુ જીવન જીવવાવાળાં હતાં.
એક વખત એ પ્રદેશમાં ભયંકર દુકાળ પડ્યો. ઘણા દીવસોથી અનાજનો દાણો પણ મળ્યો નહોતો. ભુખ અને ગરમીથી એમનાં શરીર પીડાતાં હતાં. એક દીવસ “આજે થોડા દાણા મળી જશે” એવી આશાએ એ ખેતરોમાં નીકળી પડ્યાં. એમના નશીબે બે મુઠ્ઠી દાણા મળી ગયા. ખુશ થતાં એ ઘરે આવ્યાં. દળીને એનુ સત્તુ બનાવ્યું. ચાર ભાગ કરીને પોતપોતાની થાળીમાં લઈને જમવાની તૈયારી કરી. નિયમ પ્રમાણે અન્નદેવતાની સ્તુતિ કરી. મોઢામાં કોળીયો મુકે તે પહેલાં
એક થાકેલો વૃધ્ધ, અતિથિ એમની કુટીરમાં પ્રવેશ્યો. એમને આદર પ્રણામ કરીને બ્રાહ્મણે આવકાર્યા.“મહારાજ, પધારો. આપ ભુખ્યા અને થાકેલા છો. આ સત્તુ પીરસેલી મારી થાળી સ્વીકારો અને સંતુષ્ટ થાવ.” અતિથિએ થાળીમાંથી સત્તુ ખાઈ લીધુ પણ ભુખ સહેજે સંતોષાઈ નહી. બ્રાહ્મણને એ સ્પષ્ટ દેખાયું.
“નાથ, આ મારી થાળીનો સત્તુ અતિથિને અર્પણ કરો. જેથી એમની ભુખ સંતોષાય.” પત્ની પણ ઘણા દીવસથી ભુખી છે. અન્ન વિના સાવ સુકાઈ ગઈ છે. એટલે બ્રાહ્મણ એની થાળી લેતાં સંકોચાતા હતા. તરત પત્ની બોલી.
“સ્વામી, તમે પણ ભુખથી પીડાઈ રહ્યા છો. આપણા બન્નેનો ધર્મ અને અર્થ સમાન છે. આપણે બન્ને એક છીએ. એટલે આ મારી થાળી લઈ આપ અતિથિને વિના સંકોચ આપો.”
બ્રાહ્મણે પત્નીની થાળી લીધી અને સહર્ષ અતિથિને આપી. તો પણ અતિથિની ભુખ સંતોષાઈ નહી.
“પિતાજી,” બ્રાહ્મણનો પુત્ર બોલ્યો. “મારી થાળી પણ આપ અતિથિને આપો. પુત્ર થવાનો મોટો ફાયદો એ જ છે કે પોતાના વૃધ્ધ પિતાની શારીરીક અને પિતાની લાગણીઓની કાળજી રાખી શકાય. એટલે આપ આ મારી થાળી અતીથીને આપી મને ભાગ્યશાળી બનાવો.”
બ્રાહાણે પુત્રની થાળી પણ અતિથિ સામે ધરી દીધી. એ ખાઈ લીધા પછી પણ અતિથિની ભુખ સંતોષાઈ નહીં.
બ્રાહ્મણની પુત્રવધુ સમજતી હતી કે આટલા થોડા થોડા સત્તુથી અતિથિની ભુખ હજુ સંતોષાઈ નથી.
“પિતાજી,” પુત્રવધુએ પોતાના સસરાને કહ્યુ “મારી થાળીનો સત્તુ પણ આપ અતિથિદેવને અર્પણ કરી દો. મારું આ શરીર વૃધ્ધોની સેવા માટે જ બનેલુ છે. હું યુવાન છું. ભુખ સહન કરવાની મારી શક્તિ આપ સૌના કરતાં વધારે છે.”
કુટુંબના ચારે સભ્યોનો સત્તુ ખાઈ લીધા પછી અતિથિએ આ બ્રાહ્મણ કુટુંબને ભુખ વિષેનો ઉપરનો શ્લોક કહ્યો હતો અને પોતાની સાચી ઓળખાણ આપી હતી.
“હે બાહ્મણ કુટુંબ! તમે બધા ભુખની આગમાં બળી રહ્યાં છો. અન્નના અભાવે તમારાં શરીર કૃષ્ટ થઈ ગયાં છે. તેમ છતાં તમે બધાએ ધીરજ ગુમાવી નથી. બુદ્ધિની સમતુલા સાચવી રાખીને બહુ શુધ્ધ હદયથી મને તમારો બધો સત ભોજનમાં આપી દીધો. કોઈ ધનવાન રાજાએ કરેલા કરોડો સોના મહોરોના દાન કરતાં આ તમારું સત્તુનું દાન અમુલ્ય છે. તમારી આ દાન-રુચી અજોડ છે.
હૈ ધર્માત્માઓ! હું ધર્મરાજ છું. તમારી ત્યાગ ભાવનાનો પ્રત્યક્ષ અનુભવ લેવા આવ્યો હતો.” આટલુ કહી ધર્મરાજ અદ્રશ્ય થઈ ગયા.
શ્રી આનંદરાવ લિંગાયતનો સંપર્ક gunjan.gujarati@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સંવર્ગ વિદ્યાના સામર્થ્યવાન – રૈક્વ
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના
દિનેશ.લ. માંકડ
પ્રાચીન ભારત પાસે જે હતું તે અત્યંત દુર્લભ હતું. વર્તમાન વિજ્ઞાન પણ સ્વીકારે છે કે અત્યારે પણ વિશ્વના અન્ય વિજ્ઞાનીઓના નામે ચડી ગયેલી અનેક શોધ કે સંશોધનોના મૂળ તો ભારતમાં જ હતાં .ખોવાયેલો ,લૂંટાયેલો ઇતિહાસ ભલે સાક્ષી ન પુરી શકે પણ હકીકત તો છે. જ.ગુરુકુળમાં પ્રાપ્ત વિદ્યાઓમાં અનેક અલૌકિક વિદ્યાઓ પણ હતી જે આજે આપણા માટે કેવળ કલ્પનાતીત છે. ગાડીવાન રૈક્વને પ્રાપ્ત સંવર્ગવિદ્યાનું પણ તેવું જ છે. જો આપણે શાસ્ત્રો -ઉપનિષદોમાં શ્રદ્ધા રાખીને તેની વિગતો જાણીશું તો આપણી જાગૃત જિજ્ઞાસા એ તરફ લઇ જશે. માત્ર સંભવ જ નહિ, શક્ય જ છે કે એવું અનેકાનેક એમાં છુપાયેલું છે. ખોળવાનું કામ આપણું છે કારણકે એ આપણું જ છે. અને ચોક્કસ એક નવી આવતીકાલ ખુલશે.
અનેક તાત્ત્વિક સંવાદો અને તેના ખુબ મર્મલક્ષી ઉત્તરોથી ભરપૂર છાંદોગ્ય ઉપનિષદમાં અનેક શિષ્ય -ગુરુઓના એવાનો વિશિષ્ટ સંવાદો છે કે તેની કલ્પના પણ ન હોય. જ્ઞાનના સ્ત્રોત ક્યાંથી આવે ને ક્યાં જાય છે તેની ગણના વ્યક્તિ પરથી નહિ પણ જ્ઞાનપિપાસાની તૃપ્તિ ક્યાંથી થાય છે તે મહત્ત્વનું છે. છાંદોગ્ય ઉપનિષદના ચોથા અધ્યાયના પહેલા અને બીજા ખંડમાં રાજા જનશ્રુતના પ્રપૌત્ર અને ગાડીવાન રૈક્વની વાત છે.
પ્રાચીનકાળમાં મહાવૃશ દેશમાં જનશ્રુતકુળમાં જનશ્રુતિ નામક રાજા હતા.રાજ્ય ખુબ સુખાકારીવાળું હતું.રાજા પણ પ્રજાપ્રિય હતા.પૂર્વજોની પરંપરા અનુસાર પ્રજા માટેની પૂર્ણ સુવિધા પણ અને બીજી તરફ દાન પુણ્ય પણ ઉચ્ચ કોટિના..जानश्रुतिर्ह पौत्रायणः श्रद्धादेयो बहुदायी बहुपाक्य आसस ह सर्वत आवसथान्मापयांचक्रे सर्वत एव मेऽन्नमत्स्यन्तीति॥ લક્ષ્મી સાથે સરસ્વતી પણ રાજા પર પ્રસન્ન હતાં એટલે વૈભવ સાથે તેમનામાં જ્ઞાનનો પણ ભંડાર ભર્યો હતો. આખાં ક્ષેત્રમાં જ્ઞાન અને દાનના સમન્વયનો જોટો મળે તેમ નહોતો. તેથી તેઓ પ્રભાવી પણ હતા-તેજસ્વી પણ હતા..
એક દિવસ તેઓ પોતાના મહેલની અગાસી પર ટહેલતા હતા. ઉપરથી બે હંસ પસાર થતા હતા.એક હંસે બીજા હસને કહ્યું, ‘ જરા ઉડવામાં ધ્યાન રાખજે. નીચે રાજા જનશ્રુતિ ટહેલે છે. તેઓ તેમના તેજ અને પુણ્યથી ખુબ પ્રભાવી છે એટલે જો તેમના પરથી પસાર થઈએ તો સળગી જવાય..’ समं दिवा ज्योतिराततं तन्मा प्रसाङ्क्षी स्तत्त्वामा प्रधाक्षीरिति ॥ બીજા હંસે જિજ્ઞાસા વ્યક્ત કરી,’ શું તેમનું તેજ ગાડી ( રેંકડી ) પર બેસી રહેનારા રૈક્વ કરતાં પણ વધારે પ્રભાવી છે? ‘ तमु ह परः प्रत्युवाच कम्वर एनमेतत्सन्तꣳ सयुग्वानमिव रैक्वमात्थेति यो नु कथꣳ सयुग्वा रैक्व इति ॥ પહેલા હંસે ફોડ પડતાં કહ્યું કે જેમ કોઈ રમતમાં સામે પક્ષના પાસાં કોઈ અગમ્ય વિદ્યાર્થી પોતાના હસ્તક કરી લે તેમ રૈક્વ પોતાની કોઈ શક્તિ વડે રાજાના સત્કર્મનું ફળ મેળવી લે છે. यथा कृतायविजितायाधरेयाः संयन्त्येवमेनꣳ सर्वंतदभिसमैति यत्किंच प्रजाः साधु कुर्वन्ति यस्तद्वेदsयत्स वेद स मयैतदुक्त इति ॥
સાંકેતિક ભાષા સમજનાર રાજાએ બે હંસોની વાત સાંભળી..એ ચોંક્યા ‘આ વિશેષ વિદ્યા કઈ છે ? અને તેને જાણનાર મારાં જ રાજ્યમાં આ રૈક્વ કોણ છે ? ‘ રેકાવને ખોળવા સૈનિકોને ટૂંકમાં સમજાવીને દોડાવ્યા साधु कुर्वन्ति यस्तद्वेदयत्स वेद स मयैतदुक्त इति ॥.અથાગ પ્રયત્નો પછી પણ રૈક્વનો પતો ન લાગ્યો.રાજા ખુબ અકળાયા. તેમની તો ઊંઘ હરામ થઇ ગઈ. પોતાની માન્યતા અનુસાર ;બ્રાહ્મણ પાસે જ આવી વિદ્યા પ્રાપ્ત હોઈ શકે, એમ ધારી यत्रारे ब्राह्मणस्यान्वेषणा तदेनमर्च्छेति ॥ .ફરી સૈનિકોને ગલી ગલી-ઘેર ઘેર ઘુમવાનો આદેશ કર્યો. .ભરબજારમાં એક એક ગાડીવાનને પૂછતાં, આખરે કોઈ એક ખૂણે ( ગાડી) રેંકડી પર અઢેલીને બેઠેલા ‘રૈક્વ’ તરીકે ઓળખાતા, અસ્તવ્યસ્ત દશામાં ,છતાં મુનિ જેવા લાગતા નજરે ચડયા. सोऽधस्ताच्छकटस्य पामानं कषमाणमुपोपविवेशतꣳ हाभ्युवाद त्वं नु भगवः सयुग्वा रैक्वइत्यहꣳ ह्यरा३ इति |
સૈનિકોએ નામ વગેરે પૂછી, ખાતરી કરીને કહ્યું,’ રાજાજી આપને યાદ કરે છે.આપ મહેલમાં પધારો.’ .અપેક્ષા રહિત અને પારદર્શક જીવનવાળા રૈક્વએ ઉત્તર આપ્યો, ‘મહારાજને મારા પ્રણામ કહેજો.’ ફરી નમ્રતાપૂર્વક ઉમેર્યું કે,’ મારે મહેલમાં આવવાનું કોઈ કારણ નથી.’ સૈનિકો પરત ફર્યા.અને રૈકવે કરેલા ઈન્કારની વાત કરી.
રાજા વિચારમાં પડી ગયા. મનનું સમાધાન કરી, પોતે જાતે જવા તૈયાર થયા. જ્ઞાન અને વૈભવના મહારથી, એક ગાડીવાન પાસે કશુંક લેવા જાય છે.નવી વિદ્યા પ્રાપ્તિ માટેની,તીવ્રતામાં પોતે કોણ છે અને કોની પાસે શીખવા જવાનું છે એ ગૌણ છે.શિક્ષણની ભૂખની આ મોટામાં મોટી વાત છે.વિદ્યા પ્રાપ્તિ માટે પદ,હોદ્દો કે વૈભવ નહિ પણ લક્ષ્ય કે ધ્યેય મહત્ત્વનું છે એ સંદેશ અહીં છે. ઉદારતાની મૂર્તિ, એવા રાજા પોતાની સાથે ગાયો,સોનામહોર વગેરે લઇ ગયેલા; તે ભેટ સ્વીકારવા વિનંતી કરી निष्कोऽयमश्वतरीरथोऽनुम एतां भगवो देवताꣳ शाधि यां देवतामुपास्स इति.| ખિન્ન થયેલા રૈકવે ભેટ અસ્વીકાર કરતાં રાજાને વળતો સવાલ કર્યો કે ‘ મારે શાની જરૂર ?’ क्वेमानि षट्शतानि गवामयं निष्कोऽयमश्वतरीरथोऽनु म एतां भगवो देवताꣳ शाधि यां देवतामुपास्स इति|
રાજા નિરાશ ન થયા ફરી મંથન કર્યું.પોતામાં એવું શું ખૂટે છે જે રૈક્વ પાસે છે.ખુબ વિચાર કરીને પુનઃ જ્ઞાન જિજ્ઞાસા અને પોતાની ખૂટતી કડી પુરાવા રૈક્વ પાસે આદરપૂર્વક ગયા અપ્રાપ્ય વિદ્યા પ્રાપ્ત કરવાની પોતાની ઝંખના ન જ છોડી.ફરી તેમને કારણ તો ન સમજાયું પણ રૈક્વની અપેક્ષા કદાચ વધારે હોઈ શકે એવું ધારી થોડું વિશેષ દ્રવ્ય ઉમેરીને પોતાની સાથે વધારે ગાયો,સોનામહોર વગેરે લઇ ગયા. पुनरेव जानश्रुतिः पौत्रायणः सहस्रं गवां निष्कमश्वतरीरथं दुहितरं तदादायप्रतिचक्रमे ॥ .એટલું જ નહિ પણ જે ગ્રામ્યમાં રહે છે તે પણ તેમને લઇ લેવા જણાવ્યું. ग्रामोयस्मिन्नास्सेऽन्वेव मा भगवः शाधीति ॥ જ્ઞાન પ્રાપ્તિ માટે વિનંતી કરી.
રાજાની જ્ઞાનતૃષા છીપાવવાની તીવ્રતા અને પરાકાષ્ટા જોઈને છેવટે રેકવે તેમણે પોતાની પાસેની અલભ્ય વિદ્યા વિષે ઉપદેશ આપ્યો. અને રાજા જનશ્રુતિની જ્ઞાનની અધૂરપને પૂર્ણ કરી. અલગારી રૈક્વ પાસે જે કઠિન પ્રાપ્ત એવી ‘સંવર્ગ વિદ્યા’ ( અવશોષક ) હતી તે તેમણે રાજાને પ્રદાન કરી રૈકવે સમજાવ્યું કે, ‘વાયુ સંવર્ગ છે,જયારે અગ્નિ શાંત હોય ત્યારે વાયુમાં જ સમાહિત થાય છે. સૂર્ય અને ચન્દ્ર પણ અસ્ત થાય ત્યારે વાયુમાં સમાહિત થાય છે.’ वायुर्वाव संवर्गो यदा वा अग्निरुद्वायति वायुमेवाप्येतियदा सूर्योऽस्तमेति वायुमेवाप्येति यदा चन्द्रोऽस्तमेतिवायुमेवाप्येति ॥ ‘જળ પણ સુકાય ત્યારે વાયુમાં જ સમાહિત થાય છે.’ આગળ આધ્યાત્મિક તત્ત્વનું વિવેચન કરતાં રૈક્વ સમજાવે છે કે ‘ પ્રાણ જ સંવર્ગ છે જયારે સાધક સુવે ત્યારે બધી જ ઇન્દ્રિય પ્રાણમાં સમાય છે.’ प्राणो वाव संवर्गः स यदा स्वपिति प्राणमेववागप्येति प्राणं चक्षुः प्राणꣳ श्रोत्रं प्राणं मनः प्राणो
ह्येवैतान्सर्वान्संवृङ्क्त इति ॥ અને તારણ રૂપે तौ वा एतौ द्वौ संवर्गौ वायुरेव देवेषु प्राणः प्राणेषु॥ ‘આ રીતે માત્ર બે જ સંવર્ગ છે. દેવતાઓમાં વાયુ અને ઇન્દ્રિયોમાં પ્રાણ જ સંવર્ગ છે. અને’ ते हैते रैक्वपर्णा नाममहावृषेषु यत्रास्मा उवास स तस्मै| વિદ્યાની કદર સ્વરૂપે રાજાએ આપેલ વિસ્તાર ‘રૈક્વ પર્ણ ‘ તરીકે પ્રચલિત થઇ ચિરસ્મરણીય બની ગયો.
છાંદોગ્ય ઉપનિષદની નાનકડી કથા શિક્ષણની અનેક વિભાવના વ્યક્ત કરી જાય છે. મોટા દેશના રાજા હોવા છતાં જનશ્રુતિની વિદ્યાભ્યાસની ભૂખ અને જિજ્ઞાસા ઉડીને આંખે વળગે છે.કેવળ વૈભવ નહિ વિદ્યા પણ તેમનો જીવનમંત્ર રહ્યો.વિદ્યાપ્રાપ્તિ માટે રાજા એક ગાડીવાળા પાસે જાય ખરા ? વિદ્યા પ્રાપ્તિ માટે બધું જ ગૌણ ,પ્રાપ્તિ એ જ લક્ષ્ય એ આ કથાનો સંદેશ…રૈક્વ ગાડીવાન નહિ પણ સાચા અર્થમા મુનિ કે ઋષિ જ છે.ભૌતિક આડંબર -બાહ્ય આડંબર કરતાં આધ્યાત્મિક આડંબર અનેક ઘણો ઊંચો છે.એ વાત રૈક્વનું પાત્ર સૂચવી જાય છે.
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com

