-
સ્મિત પ્રસરાવવાનો વ્યવસાય પૂરેપૂરો ગંભીર છે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
એમ મનાય છે કે હસવાનું વરદાન કેવળ મનુષ્યોને જ મળેલું છે. અન્ય કોઈ જીવો હસી શકતા નથી. અલબત્ત, અમુક પ્રાણીઓ હસતાં હોવાનું જણાયું છે ખરું, પણ મનુષ્યમાં હાસ્યનું જેટલું વૈવિધ્ય જોવા મળે છે એવું એ પ્રાણીઓમાં નથી. આમ છતાં એ હકીકત છે કે હાસ્ય, અને એથી આગળ વધીને કહીએ તો હાસ્યવૃત્તિ તમામ મનુષ્યો માટે સહજ નથી હોતી. હાસ્યલેખનથી લઈને હાસ્યની મંચ પરથી રજૂઆત વિવિધ સ્તરે થતી જોવા મળે છે. અને હાસ્યપ્રેમીને પોતપોતાના સ્તરનું હાસ્ય મળી રહે છે. હસવાથી ચહેરાના ઘણાબધા સ્નાયુઓને કસરત થાય છે એ હકીકત હાસ્યના તબીબી મહત્ત્વને ઉજાગર કરે છે. પરિણામે ઘણાં શહેરોમાં ‘લાફિંગ ક્લબ’ જોવા મળે છે. તેનો મુખ્ય હેતુ હાસ્ય દ્વારા કસરતનો છે. તેનો તબીબી લાભ જે થતો હોય એ, પણ એ નિમિત્તે અનેક લોકો હળેમળે છે.
આ બાબત કદાચ ભારત પૂરતી છે, પણ જાપાન હવે એ દિશામાં એક પગલું આગળ વધ્યું છે. અહેવાલ અનુસાર જાપાનીઓએ હવે ‘સ્માઈલ કોચ’ એટલે કે ‘સ્મિત પ્રશિક્ષક’ની સેવાઓ લેવાનું શરૂ કર્યું છે. કારણ? ખાસ કરીને કોવિડની મહામારી અને એ પછીના સમયગાળામાં માસ્ક વડે મોં ઢાંકી ઢાંકીને સૌ ત્રાસી ગયા હતા. આ અરસામાં સ્વાસ્થ્ય ઉપરાંત રોજગાર, શાળા, પારિવારિક અને એવી તમામ બીજી જવાબદારીઓનો બોજો સૌએ એ હદે અનુભવ્યો કે તેઓ હસવાનું સાવ ભૂલી ગયા હતા.

સાંદર્ભિક તસવીર – નેટ પરથી આ સમસ્યાનો સામનો કંઈ જાપાનીઓને એકલાને કરવાનો નહોતો આવ્યો. વિશ્વભરમાં સહુ કોઈને આ મહામારીએ ઓછેવત્તે અંશે અસર કરી હતી. સૌએ પોતપોતાની રીતે તેનો સામનો પણ કર્યો. ધીમે ધીમે હવે પરિસ્થિતિ થાળે પડી રહી છે. આવામાં ઘણા જાપાનીઓએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે મોં પર માસ્ક પહેરી પહેરીને તેઓ જાણે કે હસવાનું ભૂલી ગયા છે. આવી ફરિયાદ ઘણી વાર અતિશયોક્તિયુક્ત અથવા તો અભિવ્યક્તિની એક રીત લાગી શકે, પણ જાપાનીઓ આ બાબતે ગંભીર જણાય છે. કેમ કે, તેમણે વ્યાવસાયિક ધોરણે સ્મિતનું પ્રશિક્ષણ લેવાનું શરૂ કર્યું છે. સાવ પ્રાથમિક કહી શકાય એ પ્રકારના ચહેરાના હાવભાવ શી રીતે દર્શાવવા એ તેઓ ફરીથી શીખી રહ્યા છે.
હસવાના પણ અનેક પ્રકાર હોય છે. સ્મિત એટલે કે માત્ર હોઠ સહેજ પહોળા કરીને મલકાવું એ ઘણાબધા ઉદ્યોગોની, ખાસ કરીને વિવિધ સેવાઓ પૂરી પાડતા ઉદ્યોગોની અનિવાર્ય લાયકાત ગણાય છે. સ્મિત સહજ અને સાચુકલું હોય તો જ તે એના સાચા ભાવ સાથે સામેવાળા સુધી પહોંચે. પણ જો એ પરાણે અને અંદરના ઉમળકા વિના કરાયું હોય તો તેની વિપરીત અસર થતી હોવાનું એક અભ્યાસમાં જણાયું હતું. આ અસર એમ કરનારને વધુ પડતું પાણી પીવા માટે પ્રેરે છે.
માસ્ક ન પહેરવાની છૂટ મળ્યા પછી પણ ઘણા જાપાનીઓ જોખમ લેવા તૈયાર નથી. તેઓ માસ્ક પહેરી રાખવા ઈચ્છે છે. જૂજ લોકો એવા છે કે જેઓ કોઈ પણ સંજોગોમાં માસ્કથી મુક્તિ ઈચ્છે છે.
આ પરિસ્થિતિમાં સ્મિત પ્રશિક્ષણને જાપાનીઓએ એટલી ગંભીરતાથી લીધું છે કે આ ક્ષેત્રે કાર્યરત એક કંપનીના પ્રશિક્ષકના જણાવ્યા મુજબ તેમાં ભાગ લેનારા લોકો અરીસામાં પોતાનો ચહેરો જોઈને નક્કી કરે છે કે પોતે કેટલી પ્રગતિ કરી છે. અરીસામાં જોઈને તેઓ પોતાના ચહેરા પર હાવભાવ લાવવાનો પ્રયત્ન કરે છે અને પોતાનું નૈસર્ગિક, માસ્ક પહેરતા થયા એ સમયગાળા પહેલાંનું સ્મિત ન આવે ત્યાં સુધી મથતા રહે છે. ખાસ કરીને જાપાની મહિલાઓમાં આ પ્રકારના વર્ગો વધુ લોકપ્રિય છે.
ટી.વી. અને સામાજિક માધ્યમ પરનો જાણીતો ચહેરો એવાં કવનોએ છેલ્લાં છ વર્ષમાં ચારેક હજાર લોકોને સ્મિતની કળાનું પ્રશિક્ષણ આપ્યું છે. અનેકોને પ્રમાણિત ‘સ્માઈલ સ્પેશ્યાલિસ્ટ’ બનવામાં તેમણે સહાય કરી છે. હવે સમગ્ર જાપાનમાં વીસેક જેટલા પ્રશિક્ષકો દ્વારા તેઓ સ્મિત માટેના વર્ગો ચલાવે છે.
આ બધું જાણીને એમ લાગે કે જાપાનીઓ વધુ પડતા સંવેદનશીલ હશે. આપણા દેશ પાસેથી તેમણે કમ સે કમ આ બાબતે ઘણું શીખવા જેવું છે. નાગરિકોને બહાર નીકળવા પર પ્રતિબંધ હતો એની સમાંતરે જ આપણા વડાપ્રધાન ચૂંટણી માટેની પ્રચાર સભામાં એકઠી થયેલી મેદનીને જોઈને હરખના ઉચ્ચાર વ્યક્ત કરી રહ્યા હતા. એક તરફ આવી ગંભીર મહામારી સામે શા પગલાં ભરવાં એ સમજાતું નહોતું અને બીજી તરફ આપણે એના ઓઠા હેઠળ ધર્મનું રાજકારણ રમવાનું શરૂ કરી દીધું હતું. રાતોરાત ઘોષિત કરાયેલા લૉકડાઉનને કારણે જે તે સ્થળે ફસાઈ ગયેલા લોકોને ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે સરકારી સેવાઓ ઉપલબ્ધ નહોતી ત્યારે વ્યક્તિગત સ્તરે અમુક લોકોએ એ અઘરું કાર્ય હાથ ધર્યું હતું. વડાપ્રધાને થાળી ખખડાવવાનું, તાળી વગાડવાનું એલાન આપ્યું અને લોકોએ એનું પાલન કર્યું. પણ તેમણે દીવા પ્રગટાવવાની અપીલ કરી ત્યારે કેટલાય ઉત્સાહીઓ તેની વૈજ્ઞાનિક અસરનું પૃથક્કરણ કરવા લાગી ગયા હતા. સ્થળાંતરિત થઈને ગયેલા લોકો માટે બીજી કશી વ્યવસ્થા ઊભી કરવાને બદલે તેમની પર સામૂહિક ધોરણે પાઈપ વડે સેનિટાઈઝરનો છંટકાવ કરવામાં આવેલો. શ્રમજીવીઓને બેસાડીને ઊપડેલી ટ્રેન પોતાનો રસ્તો ભૂલીને અન્યત્ર ભટકતી રહી હતી. જે નાગરિકો કરાતી સરકારની ટીકાનો જવાબ સરકારના પ્રવક્તા હોય એમ બીજા નાગરિકો જ આપી દેતા હતા.
ભલે આપણે કોવિડના સમયગાળા દરમિયાન માસ્ક પહેરેલો હોય, પણ મોં પર સ્મિત લાવવા માટે આ વિરોધાભાસ પૂરતા ન ગણાય? જાપાનીઓને બિચારાઓને આ બધું ક્યાંથી નસીબ થઈ શકે? આવા વેવલાવેડા તેઓ કર્યે રાખે તો તેમણે વિશ્વગુરુને નાણાં અને સેવાઓ જ આપતા રહેવું પડે ને!
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૬ – ૦૭ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
હે ભગવાન આવતે ભવ મને ગધેડો કરજે
સોરઠની સોડમ
ડૉ. દિનેશ વૈશ્નવ

યુ.એસ.માં મારા રાજ્યમાં વસંત ઋતુ ઉતરીને ઉનાળો મજરુમજરુ આવી રયો છ, જાડપાન વધુ ને વધુ લીલાં થાય છ, રોજ નવી કળીયું ફૂટે છ ને ભાતીગળ ફૂલો ખીલે છ. મારા ઘરની પાછળના એક એકરથી વધુ ઘેરાવાના લોનથી બિછેલ લીલાછમ આંગણે (બેકયાર્ડમાં) હયણાં ને સસલાનાં ટોળાં, શિયાળના જૂંડ, જગલ બિલાડા અને જાતભાતના પંખીઓ દેખાય છ ને કુદરતનું આ રાચરચીલું હું દી’ આખો આંખે આંજું છ ને પાંપણે પંપાળું છ. મારો આ આકાશે ઉડતા, જમીને ફરતા ને પાણીમાં તરતા હજારે વરણના જીવો જોવા-સાંભળવાનો ને ઝાડપાન માલવામલાવાનો શોખ સાસણગર્યના નાકાં સમાં ગામડાંઓમાં મારો ઉછેર છે.
હું હિન્દૂ વિચારધારાથી વિરુદ્ધ જઈ પુનર્જનમમાં નથી માનતો પણ મારા જેવો નિવૃત ને નવરો માણસ નખોદિયું કે નકામું વિચારે એટલે મને પણ બે’ક દી’ પે’લાં મારા બેકયાર્ડમાં પંખી ને પશુધન જોઈને વિચાર આવ્યો કે જો હું આગલે ભવ પશુ કે પંખી તરીકે પેદા થાંઉં તો સું થાવું મને ગમે. એટલે આજની મારી વાત આ વિચિત્ર વિચારવમળમાં મેં જે દી’રાત ઘૂમરા ખાધા છ એમના થોડાક ઘૂમરાની છે.
પે’લાં તો જાણે થ્યું કે હું હાથીની ઐરાવત, પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ કે સુપ્રતીક જેવી જાતો માંથી એકાદ જાતનો હાથી થઈને આસામના ગીચ જંગલમાં જન્મું. પછી તરત જ થ્યું કે મારા કદાવર કદે મારે તોતીંગ જાડવાં દી’ ઉગ્યાથી સારવાં પડે, માથે ચડેલ માવતના અંકુશના ઘોદા ખાવા પડે ને આ બધા પછી પણ મારે ખાવાં તો કોરાં જાડવાં ને બે ઘડી બેસવું પણ કાદવે ભરેલ માદરામાં જ. ઉપરાંત ક્યારે મારા જીવતાં કે મને મારીને કોક દાંત પાડી નાખે ઈ પણ કે’વાય નહીં એટલે હાથી નથી થાવું એમ નક્કી કર્યું. પછી બીજી જ મિનિટે થ્યું કે થાવું તો ગાંડી ગર્યનો રાંટાપગો “ચાંપલો, કપાળે ચોથના ચાંદ જેવા ધોળા ચાઠા વાળો “ટીલીયો” કે પછી ગરીબ ગાય જેવો “બાપુડિયો” સાવજ જ થાવું કારણ કે:
“કરાલ ચાલ કેશવાળ કાળ હાલતા વને
ઝળાહળા ઝળાહળા ઝબૂક નૈન લોચને
ઝનૂન ખૂન અંગ અંગ તંગને મચાવતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા.”પણ સાવજ થાવાનું પણ ભારે પડે કારણ કે મારે ખાવા સારુ સાંજ પડે હયણાં, નીલગાય, રોજડાં, ગાય કે ભેંસ પાછળ હડીયાપટ્ટી કરવી પડે ને જો ઈ ન પકડાય તો પેટે પગ ભરાવીને ડુવામાં ભુખ્યું સુવું પડે. વળી મને જોવા સારુ દી’રાત માણસ ઉમટે એટલે મારી નીંદર પણ હરામ કરીદે.
પછી ઈ વિચાર આવ્યો કે કાં હું સુરતી, મહેસાણી, જાફરાબાદી, મુરાહ, મરાઠવાડી, નીલીરાવી, નાગપુરી, પંઢરપુરી, ભદાવરી, ટોડા, દાડમી, ભગર, નવચંદરી કે બન્ની કુંઢી ભેંસ થઈને જન્મું અથવા તો પછી કાંકરેજી, ગીર, ડાંગી, સાહિવાલ, લાલ સિંધી, રાઠી કે થરપાર્કર જેવી ગાય થઈને. વળી પાછો વિચાર બદલાણો ને થ્યું કે માણકી, હિરાળ, પ્રવાલ, પારેબી, જબાદ, ટીલાત, રેડી, વીજળી, માછલી, મારૂત, કેસર, હિરણ્ય, ઝડપી, સેંતી, રેશમ, સેનાની, વાંગળી, બગી, વાંદરી, વાઘણ, તાજણ, મની, ખેંગ, ઢેલ, શીંગાળી, દેવમણી, લાડી, સપનાશ, લખી, ભુતડી, બોદલી, ચમરઢાળ, મુગટ, માતંગી, બાઝ, વાલઈ, ફુલમાળ, સિંયણ, હેમન, રીમી, નોરાળ, દાહલી, બેરી, મુંગલી, અટારી, છોગાળી, પાંખાળ., લાંહી, બાંય, પીયુડી કે પટ્ટી જેવા ઘોડા તરીકે જ સુ કામ આવતો ભવ ન ભોગવવો.
પણ હું તો મારા આવતા ભવના જનમના વિચારે એવો અટવાણો તો કે ઘડીક સૂરતી, જમનાપારી, ઝાલાવાડી, મારવાડી, જંગલી, કાળીયાર, સિરોહી, મહેસાણી, કાશ્મીરી બકરી કે કારનાહો, ગડ્ડી, ગુરેઝ, ચાંગથાંગી, પુંચી, રામપુર, બુશિયાર, ચોકલા, જેસલમેરી, નાલી, નીલગિરિ, પુગલ, માગરા, મારવાડી, મુઝ્ઝફરનગરી, કેનગુરી, કોઇમ્બતૂરી, ત્રિચી, દખ્ખણી, નેલ્લોર, બેલ્લારી, માંડયા, મચ્છેરી, રામનાડ, વેમ્બુર, હસન, ગંજમ, છોટાનાગપુરી, તિબેટી, બેલનગીર, બેનપાલા કે શાહબાદી ઘેંટા કે ઘેંટી થઈને જ અવતરવાનું નક્કી કર્યું. પણ જેવું ઈ નક્કી કર્યું ને બીજી જ મિનિટે થ્યું કે મારા વાળ કાપીને લોકો શિયાળે પે’રવા કિંમતી કપડાં બનાવસે, ઘણી જગ્યાએ મારો ભોગ ચડાવસે ને કાંઈ નહીં તો પણ મને લોકો કાપીકુપીને ખાસે ને છેલ્લે બાયું મારા ચામડાના હાથમાં થેલા જાલીને ભરબજારે રખડસે. એટલે આમ ઘેંટાબકરાં થાવાનો વિચાર પણ મેડે મુક્યો.
બસ, આવા મારા બીજા ભવના જનમના ગોથે ગુંથાણો તો યાં ઉનાઉના ચાનો પ્યાલો મને દઈ પોતે લઈને મોરપીછ રંગના બાંડિયામાં મારાં ઘરવાળાં સામે ગોઠવાણાં ને મને યાદ કરાવ્યું કે “આજ અષાડ સુદની ‘હરિનોમ” છે. બસ, એને “અષાડ” કીધું ને મારા હૈયે:
“અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ
દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્, તડિતા તારમ્, વિસ્તારમ્…” ને“તવ ડમક ડમક દાદુરદ્રાંવ ડમકત ડેહકત મોર મલ્હાર ગીરા
તવ પિયુપિયુ શબ્દ પુકારત ચાતક કિયુંકિયું કોકિલ કંઠ ગીરા
તવ ઘડડ ઘડડ નભ હોત કડાકા ને ગણણ ગિરિવર શિખર દડે
તવ રૂમ્જુમ રૂમ્જુમ બરસત બરખા ને ઘરર ઘરર ઘનઘોર ગજે.”જેવા રેણુકી છઁદોના નળિયાં ચૂવા મંડ્યા ને મને સોળે કળાયે ખીલીને ઘનઘોર ગર્યમાં ઘેઘૂર વડ તળે મોરલો થઈને બે ઘડી નાચવાનું મન થ્યું પણ એને પણ તત્કાલ પાછું વાળ્યું કારણ કે મોરલો થઈને જન્મું કે “શોભાનો ગાંઠિયો થઈને ઈ બેય મારે મન તો બિનઉપીયોગી ને સરખાં જ. આ મોર ને ગર્યના વિચારમાં મને અમારી “હિરણ” નદી દેખાણી ને ઘડીક થ્યું કે હું મઘર તરીકે આવતો ભવ લઉં કારણ કે:
“ડેડાં ડળવળતાં ઝૂંડ ઝંબૂળતાં, મઘરા ફરતા મોં ફાડી
જળકૂકડા ચરતાં, બતક વિહરતાં, દાદુર ડહતા દિનદાડી
માછલીયું ટોળાં, કરે કિલોળા, બગલાં બોળા બહુ ભારી
હિરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી”પણ એમાં પણ દખ જ દેખાણું કે મારે જાડે, કાંટાળે ચામડે ને મોટા પૂંછડે આખો દી’ પાણીમાં ફરવાનું, રે’વાનું ને શ્વાસ લેવા કાંઠે દોડવાનું એટલે ઈ અવતાર મેં ટાળ્યો. એમ જ ભાદરવે છાપરે બેસીને કોકના બાપદાદાના શ્રાદ્ધની ખીરના લૉંદા ખાવા કાગડો કે મણિશંકર ભટ્ટના “કાન્ત”ના “ચક્રવાક મૈથુન” કાવ્યનાં રતાંધળા ચકલો-ચકલી તો મારે નોતું જ થાવું.
ટુંકમાં, આમઆમ કરતાં આવતે ભવ કેટલાંય પશુપંખી થાવાનું મેં વિચાર્યું પણ પછી સમજાણું કે લગભગ બધાંને પોતીકી જરૂરિયાતો છે. સાવજ કોક પશુને મારીને જ ખાય, ગાયભેંસને રાતે સૂકું નીણ જોયે, પરહ ચરવા જાય તીયે લીલું જ ઘાંસ ખાય ને દોવા દે ત્યારે એને બટકો ખોળ જ ખાવો પડે. હાથીને કોક લીલાછમ ઘેઘરું જાડવાની જાડી ડાળો, ઘોડાને રજકો ને ચંદી ને ઘેંટાબકરાંને ગદબ જોયેં. એટલે આમ સું અને ક્યારે ખાવું એની ખાસ જરૂરિયાત મને લાગી. ઉપરાંત આ બધાં પશુપંખીને ક્યાં રે’વું એની પણ ખાસ જરૂરિયાત છે જેમ કે સાવજ ડુવામાં જ રે,’ ગાયભેંસને ગમાણ ને ઢાળીયાં જોયેં, ધોડાને તબેલો જોયેં ને પંખીઓને અમુક જ માળા ને જાડવાં જોયેં.
હવે પાણી – કે જે પ્રાણવાયુ જેટલું જીવવા જરૂરી છે – ઈ પીવા સારુ સાવજને દોડતી નદી કે ઘુનો જોયેં, ઢોરઘોડાને ગામને ગોંદરે હવેડો જોયેં તો પંખીને ખાબોચિયું જોયેં. પછી ઈ પણ વિચાર આવ્યો કે સાવજને નાવા સારુ વોંકળો જોયેં, ઢોરને રાડાંમાં આળોટવા જોયેં કે માદરામાં બેસવા જોયેં તો ઘોડાને વેકૂરમાં આળોટવા જોયેં. વળી ગર્યમા કે ગામમાં દુકાળ જેવું લાગે તો ઢોરને માણસના ફંડફાળા ને ગઢવીઓના ડાયરે કે ભજનિકોના ભજને નભવું પડે. આ ઉપરાંત લગભગ બધાં પશુપંખીઓ અલૌકીક તત્વોના તાબામાં પણ છે; જેમ કે માતાજીનું વહાન વાઘ, જમરાજાનું પાડો, કાર્તિકેયનું મોર, શંકરનું આખલો, બ્રહ્મા અને સરસ્વાતીનું બતક, લક્ષ્મીનું ઘુવડ, ગંગાનું મઘર, ભૈરવનું કૂતરો, ગણેશનું ઉંદર, વ. ટૂંકમાં હું ઈ નિર્ણયે આવ્યો કે આ બધા જીવો એની અને હિન્દુ ભગવાનોની અનોખી જરૂરિયાતોને લઈને સ્વંતંત્રત રીતે, બિનદાસ જીવન જીવતા નથી, જીવી સકતા નથી ને ઈ મને મંજુર નથી એટલે છેલ્લે માથું ખંજોળી, જાજુ વિચારી ને મેં મારા માતુશ્રીના દાદા મણિલાલ નાણાવટીની:
“કાળી તો એ સરસ રસની, વસ્તુ કસ્તૂરી સારી,
ધોળું તો એ વિષમય દિસે થોરનું દૂધ ભારી
ધોળું તો સૌ પય ન ગણજો ગુણ જોજો બધેના
શું લેખાનું સરસ રૂપ છે કાર્ય કાળાં જ જેનાં …”કવિતામાંથી બોધ લીધો કે કાળું બધું અમલ નથી ને ધોળું અમૃત નથી. પરિણામે મેં નક્કી કર્યું કે જે પ્રાણીને ભાગ્યે જ કોઈ ચાહે છ, જેને જનમોજનમ મજૂરી જ કરી છ ને ઈ સારુ જ ભગવાને એને સર્જ્યો છ ને જેની ગણતરી અક્ક્લમઠામાં થાય છ ઈ “ગધેડા” તરીકે જ મારે આગલે ભવ અવતરવું. હવે, એમ ન માનતા કે મેં ગધેડો થાવાનો નિર્ણય કોઈ જલદબાજીમાં લીધો છ કે ઈ મારી છોકરમત છે. મેં આ અવતારના અનેક ફાયદાગેરફાયદાની તુલના કરી ને પછી જ આ નક્કી કર્યું છ. તો મારી તુલનના ગણ્યાગાંઠ્યા જ દાખલાઓમાં:
૧) ગધેડો શીતળામાતાનું વહાન છે ને ઈ રોગ હવે ભૂંડો ભૂતકાળ થઇ ગ્યો છ. બીજું આ માતાજીને વરસે એકવાર શીતળાસાતમે કેટલાક લોકો યાદ કરે છ. એટલે આમ આ એક દી’ સિવાય નવરો ને નવરો.
૨) ઈ ઘરની ફળીમાં કે ગમાણે પણ ટેસથી રે’ છ ને ડબ્બે પુરાય તો યાં પણ મોજે તોરા છોડે.
૩) એની ખાવાની ખાસ કોઈ જરૂરિયાત નથી. ઈ લીલુસૂકું જે ઘાંસ મળે ઈ ખાઈલે ને જો ઈ ન મળે તો ઉકયડો ને એઠવાડ પણ પાંચ પકવાન ખાતો હોય એટલી મોજે ખાય.
૪) ઈ માણસ કે જીવજંતુનું બોટેલું પાણી પી લે, હવડે પણ પાણી પીવે ને કાંઈ ન મળે તો કોકનાં ઉભરાતાં ગટરે કે ખાળે પણ એની તરસ ધરવી લે.
૫) ઈ વેકૂરમાં પણ પલોટ ને જો ઈ ન મળે તો કોકના ઘર કે દુકાનની દીવાલે ઘસાઈ લે.
૬) કોઈ પણ પ્રાણી એની સામે ભસે, ભોંકે, બણબણે, હણહણે કે ડણકે તો પણ જો એને સામું “હોંચીહોંચી” કરવું હોય તો જ કરે બાકી “હાથી પાછળ કૂતરાં ભસે” ઈ ગજરાજની અદાએ ઈ ઉભો રે’ ને જો કોઈપણ કારણે ઈ નિરાશ હોય તો સામે મોં વકાસીને ઊભો રે’. ટૂંકમાં, આજની રાજકીય બોલીએ ગધેડું “ટેફલોન કોટેડ” છે એને કોઈ ટીકાટિખળ કે વખાણ અડતાં નથી, પલાળતાં નથી.
૭) ગાંડો હાથી સૂંઢે ઉપાડીને માવતને ફેંકે, વણપલોટેલો ઘોડો અસવારને ઉલાળે કે ચોકઠું પેરાવતાં બટકું ભરી લે, વણહેવાયાં ગાયભેંસ એને દોતી વખતે લાત મારે કે આખલો ચોમાસે કે લાલ કપડું ભાળીને તોફાને ચડે ને કોકને શિંગડે ચડાવે. ગધેડાને આવું કાંઈ નહીં કારણ કે ઈ એની દુનિયામાં મસ્તીમાં જ જીવતો હોય છ.
૮) ઈ નીચી મૂંડીએ પીઠે ધોબીએ ખડકેલ ઘોણનાં કપડાંની લાદી કે કુંભારે મુકેલ છાલકાનો ભાર વહેતો જનક રાજાની જેમ અનાસક્તભાવે હાલે છ. બીજું, લક્ષ્મણે નમાવેલા મસ્તકે સીતાનાં ઝાંઝર જ માત્ર જોયેલાં પણ બાપડું ગધેડું તો એમનાથીયે આગળ વધી પોતાના પગમાં ધોબી કે કુંભારે બાંધેલ દોરડાના ડામણને જ માત્ર જોઈ રહે છે. જે લાદી કે માટીનો એને ભાર વેઠવો પડે છે એના માટે એને ઈ મમતાય ભારે લાગે છે ને ઓછામાંઓછા વળતરે આજીવન, ગર્વથી મજૂરી કરતો રે’ છ.
૯) જે માણસે એની જિંદગીમાં અપશબ્દ ન ઉચ્ચાર્યો હોય એને પણ ગુસ્સામાં કમસેકમ કોકને “તું ગધેડા જેવો છ” એમ તો કીધું જ હશે. એટલે આમ એનું નામ સર્વવ્યાપી ને સર્વમુખી છે.
૧૦) છ્પનીયા જેવો દુકાળ પડે તો પણ એને કોઈ દી’ સાંભળ્યું નથી એની સારું ફંડફાળા થ્યા, ભીખુદાન જેવા એ ડાયરા કર્યા, કિર્તીદાન જેવાએ આખી રાત ગાયુ ને ઘોરનો વરસાદ થ્યો કે મોરારીબાપુ જેવા એ “રામકથા” કરી.
ટૂંકમાં મિત્રો, ગધેડામાં કાંઈ ખૂટતું નથી ને ઈ પરગજ્જુ ને સેવાભાવી છે. બીજું, જમરાજા તો એના પાડે બારેમાસ ને ચોવીસે કલાક બેઠાબેઠા ફરતા હોય છ ત્યારે ગધેડે તો વરસે એક જ વાર શીતળામાં સવાર થાય છ એટલે આમ ઈ કોઈ દેવ કે દાનવના તાબામાં પણ નથી ને સંપૂર્ણ સ્વતંત્ર, નિસ્વાર્થ જિંદગી જીવે છ ને એટલે જ હું ભગવાનને પ્રાર્થના કરું છ કે મને આવતે ભવ ઈ ગધેડો બનાવે.
ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ભ્રાન્તિ ભંગની વ્યથા-કથા : ‘ગૃહભંગ’
અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
કન્નડ નવલકથાકાર એસ.એ.ક. ભૈરપ્પાનું નામ ડૉ. શિવરામ કારન્તની લગોલગ આદરથી લેવાય છે. આ નવલકથાનો સમયગાળો ૧૯૨૦ થી ૪૦-૪૫નું જે કર્ણાટક, કન્નડ જગત છે તેનું આલેખન કરતો રહ્યો છે. આપણે જયારે આ નવલકથામાંથી પસાર થઈએ છીએ ત્યારે ગુજરાતની જાનપદી નવલકથાઓ છે જેવી કે,પન્નાલાલની ‘માનવીની ભવાઈ’, ‘મળેલા જીવ’, ‘હિન્દીની મૈલા આંચલ’ કે બંગાળી ‘આરણ્યક’નું સ્મરણ થાય છે. આ બધી જ નવલકથાઓ અધ્યયનપૂર્વક વાંચવા જેવી છે કેમ કે અહીં પ્રદેશ, જનપદ કેવાં છે, તેમાં લોકો કેવા જીવન જીવતા હોય છે, તેમની માન્યતાઓ, જનજીવન, ગરીબી વગેરેનો અહીં કારમો પરિચય સહૃદયને સાંપડે છે. તીવ્ર ગરીબાઈની વચ્ચે માણસ ધારે તો એની સમજણ કેવી વિકસી, વિસ્તરી શકે એનો એક આલેખ સમસંવેદનપૂર્વક આ કૃતિઓમાં આલેખાય છે.
આ કૃતિ રામણ પરિવારની છે કે જે તહેસીલદાર રહી ચૂક્યા છે. એનો નાયક રામણ્ણાના મૃત્યુ પામ્યો છે.એમને બે પુત્રો છે જેમાં મોટો ચેન્નીગરાય અને બીજો અપ્પણ્ણય્યા. રામણ્ણાની પત્ની ગંગમ્મા ગુજરાતી કૃતિનાં પાત્રો માલીડોશી કે સંસ્કૃતના પાત્રો શૂર્પણખાને પણ વિસરાવી દે એવી ખલનાયિકા છે. એનામાં સંસ્કારનો છાંટો નથી. એની જીભેથી નીકળતો દરેક શબ્દ ગૃહભંગનું કારણ બને છે. એના બે દીકરા માતા જેવા આળસુ, અસંસ્કારી, સ્વકેન્દ્રી અને નીપટ સ્વાર્થી છે. તેમાંય એનો મોટો પુત્ર ચેન્નીગરાય. ગંગામ્મા પુત્રોને ચાહે છે પણ તેની ચાહવાની રીત નોખી છે. આ લોકોએ અમુલ્ય દેહ અને માનવજીવન વેડફીને ધૂળ કરી નાખ્યાં છે. એને કારણે તેમનું કુટુંબજીવન પણ ખલાસ થઇ ગયું છે. શરૂઆતથી ખલાસ થતાં જતાં એમનાં જીવનની અંતે ઘોર ખોદાઈ જાય છે. આ બધું જ ગંગમ્માને કારણે બને છે.ગંગામ્માની મોટી પુત્રવધુ નજમ્મા ખાનદાન સ્ત્રી છે અને બીજી પુત્રવધુ સાનુ જે ઝઘડાળું છે. સાનુ બધાથી છૂટી પડીને પોતાનું જીવન જીવે છે. છેલ્લે તો તેનું ચારિત્ર્ય પણ ભ્રષ્ટ થઈ જાય છે. લેખકે બે અંતિમ છોરના પાત્રો આપ્યાં છે. એક બાજુ નિમ્મતમ જીવતી ગંગમ્મા અને બીજી બાજુ સતત વિકસતી જતી નજમ્મા બેઉ પરિવારની પ્રતિષ્ઠાની રક્ષા કરે છે પણ એનું પોતાનું જીવન કરુણપર્યવસાય છે. પતિ નિરક્ષર અને પેટભરો છે, તો સાસુ હૃદયહીન છે, નજમ્મા આ નરકને સ્વર્ગમાં પરિવર્તિત કરવા પ્રયત્ન કરે છે પણ એને એમાં સફળતા મળતી નથી. એની પરણાવેલી પુત્રી અને સમજુ પુત્ર બંને એક જ દિવસે પ્લેગનો શિકાર બને છે. નજમ્માને તો મૃત્યુ દ્વારા જ મુક્તિ મળે છે.
એકબાજુ કંઠી જોઇશ છે, નજમ્માનો પિતા છે એ વિધુર છે ને ઘરમાં મોટી ઉમરની માતા છે-અકમ્મા, નજમ્માની દાદી. મોટોભાઈ ક્લ્લેશ. નજમ્માનો પિતા પુત્રીને ચાહે છે પણ એ છે આત્મકેન્દ્રી. ચેન્નીગરાય પહેલીવાર સાસરે જાય છે ત્યારે એનું સન્માન કરે છે એની દાદી સાસુ અકમ્મા, જે બહુ જ કોઢાસૂઝવાડી સ્ત્રી છે. આ કૃતિમાં સ્ત્રીઓ ભણેલી નથી, પણ તેનાં પાસે અનુભવે આપેલી કોઠાસૂઝ છે, માણસને પારખવાની શક્તિ છે, પોતાનું જીવનદર્શન છે. તેમને જીવનના રહસ્યનો ભેદ જડ્યો છે. નજમ્માપર જેનો બહુ પ્રભાવ છે એવી અકમ્મા પોતાની પૌત્રીને ચાહે છે. જમાઈને સત્કારે છે. નજમ્મા સાસરે આવે છે ત્યારે તેને જે સાસુનો પનારો પડે છે તેને ગાળો સિવાય કોઈ ભાષા આવડતી નથી. છીનાળ, રાંડ જેવા નિકૃષ્ટ શબ્દો એ વાપરે છે. એનાં પાત્રની દુષ્ટતા કૃતિમાં ક્રમશઃ વિકસતી જાય છે. ગંગમ્મા કોઈ પુત્રવધુ સાથે નથી પોતે જોડાતી કે નથી એમને જોડતી. એ પોતાના દીકરાઓને પણ પોતાની સાથે નથી જોડી શકતી. દીકરાઓને પણ તેની વિચિત્રતાનો પરિચય થતો રહે છે.
નજમ્માની દાદી અકમ્માનું પાત્ર પણ ગંગમ્મા સાથે હરીફાઈ કરે તેવી છે. તેને પણ જીવન પ્રત્યે વિદ્રોહ છે.
આ એવા સમયની કથા છે જયારે માને એકલી મૂકીને સંતાનો ક્યાંય દૂર ન જઈ શકે. એટલે એ લોકોએ આ બધું વેઠવાનું છે, ભોગવવાનું છે, પુત્રવધુએ સાચવવાનું છે. આ જ પરિસ્થિતિમાં રહેવાનું છે. ચેન્નીગરાય જીવે કે મરે પણ એ નંજમ્માનો પતિ છે. નંજમ્મા કેવાં કેવાં સ્વપનાં લઈને આવી છે ! તેના પિતાને ત્યાં ગાય છે, ઘી-દૂધ છે. પ્રેમાળ દાદી છે, પોલિસમાં નોકરી કરતો ભાઈ છે. આ બધું જ છોડીને ૧૨ વર્ષની નાની વયે એ સ્વકેન્દ્રી પતિને ઘેર પ્રવેશ કરે છે તે દિવસથી માંડી કૃતિના અંતમાં એ ચાલી ગઈ ત્યાં સુધી તેણે સુખનો ઓડકાર ખાધો નથી. એ જીવન સામે ઝઝૂમી છે. પરણીને આવી ત્યારે સાસુ ધક્કો મારે, ગાળો બોલે, પતિને પોતાના પક્ષમાં રાખે-એ બધું જ એણે વેઠવાનું છે. પતિને તલાટીની નોકરી મળી જાય છે પણ તેને કામ આવડતું જ નથી. નંજમ્મા ઓછું ભણી છે પણ મહાદેવીયા જેવા સાધુપુરુષને તે ઓળખી શકી છે. તેની મદદથી એ તલાટીગીરી શીખે છે. આ લેખકનો આધુનિક અભિગમ અહીં દેખાય છે. જે છોકરી નિમ્નકક્ષાના ઘરમાં રહે છે, લાજ-શરમ પાળે છે, તે છોકરી પછીથી પોતાના પગ પર ઊભી રહે છે. પોતાના આપબળે, પોતાની શક્તિ, બુદ્ધિ, પોતાના સંવેદનથી આત્મૌપમ્યથી. બીજાનું દુઃખ એ પોતાનું દુઃખ એવી સમતા ને સમજ સાથે નંજમ્મા વિકાસની કેડી પકડે છે. તેની આસપાસનાં જે પુરુષ પાત્રો તેને સમજે છે એમાંના એક છે મહાદેવીયાજી, જેઓ તેને રજીસ્ટર બનાવતાં, હિસાબ – કિતાબ કરતાં શીખવે છે. નંજમ્માને ગર્ભ રહે ઓછે અને પહેલી પ્રસુતિ કરવા એ પિયર જાય છે. અહીં તેને નથી મળતો પ્રેમ, આદર કે સંસ્કારી વાતાવરણ. ત્યાં તેની દાદી તેને પ્રેમથી ભરી દે છે, તેની કાળજી કરે છે. અને તેને પ્રથમ પુત્રી જન્મે છે. તેનું નામ પાડે છે પાર્વતી. તેને કોઈ જોવા નથી આવતું. કેટલાય વખત પછી તેનો પતિ દેખા દે છે. સાસરે બેસીને એ આખો દિવસ ખાય છે, પીવે છે, સુએ છે. છેક જતી વખતે એ દીકરીને માંડમાંડ જુએ છે. અને કશી જ લાગણી ન હોય એમ ચાલ્યો જાય છે.
દીકરીને લઈને નંજમ્મા સાસરે આવે છે ત્યારે ફરી એ જ દુઃખો ચાલુ થી જાય છે. ઘરમાં દેરાણી સાતુ આવે છે. દેર અણપ્પામાં પણ ઝાઝી સમજણ નથી. પણ તેમ છતાં નંજમ્મા સાસુને ક્યારેય કશું નથી કહેતી. માત્ર એકાદવાર પોતાની વેદના એ સાસુ પાસે વ્યક્ત કરી બેસે છે- અત્યંત ખાનદાનીપૂર્વક. નંજમ્માનું દુઃખ જોઈને દેરાણી પણ નવાઈ પામીને નંજમ્માને આ બધું સહન કરવા અંગે પૂછે છે ત્યારે નંજમ્માનું દુઃખ જોઈને દેરાણી પણ નવાઈ પામીને નંજમ્માને આ બધું સહન કરવા અંગે પૂછે છે ત્યારે નંજમ્માનો ઉતર છે તેમ આપણે આ જોગવવાનું છે કારણ કે, આપણું ઘર તૂટવું ન જોઈએ. આપણે શ્વસુર ગૃહને જોડવા આવ્યાં છીએ. ને એના માટે એ મથતી રહે છે. અને બીજીવાર ગર્ભ રહે છે ત્યારે દીકરો આવે છે. રામન્ના નક્કી કરે છે કે તે દીકરાને ભણાવશે, બાપના જેવો નહીં રાખે. ફરી ત્રીજું સંતાન આવે છે જેનું નામ છે વિશ્વાધાર. સૌ તેને વિશ્વા કહીને બોલાવે છે. દાદી અકમ્મા પીઢ સ્ત્રી છે. તે કહે છે : ‘તારા પતિને તારી નથી પડી તો તે પ્રસવેલા બાળકોની તો શા માટે પડી હોય ? તારે તેને તારી નજીક આવવા દેવો નહીં જોઈએ. ત્યારે નંજમ્માએ આપેલો ઉત્તર એ જમાનાની બધી જ સ્ત્રીઓનો પ્રશ્ન બનીને મૂકાયો છે. જો અમસ્તુ પણ આવું વર્તન કરે છે તો બિસ્તર પર ન આવવા દેવાથી યો શું જ થાય ? નંજમ્માને મુખે મુકાયેલો આ ઉત્તર સહૃદય ભાવકનાં ચિત્તને વલોવી નાખે છે. સમગ્ર કૃતિમાં સાનંદાશ્ચાર્ય જગવે એવી આ વાત એ છે કે નંજમ્મા ક્યાંય નકારાત્મક નથી. પછીથી દેરાણી ચાલી જાય છે. ગંગામ્મા પુત્રોને અલગ કરે છે ત્યારે નંજમ્મા ઘર ગોતવા જાય છે અને ગૌડમહાશયને ઘેર જઈને એને ઘર આપવા માટે વિનવે છે ત્યારે ગૌડમહાશયે નંજમ્મા માટે ઉચ્ચારેલો અભિપ્રાય એક બાજુથી નંજમ્માનું ચરિત્ર ઉજાગર કરે છે તે બીજી બાજુ ગૌડમહાશયની નિરીક્ષણ શક્તિ. ‘આવો, આવો તમારાં જેવાં લક્ષ્મી ઘેર ક્યાંથી ?’ પછી ‘પત્નીને બોલાવીને જણાવે છે ;જુઓ, કોણ આવ્યું છે? નંજમ્મા આવી છે. એની મોં કળા જોઈ? કેવી સીતામાતા જેવી લાગે છે !’ પાત્રચિત્રણનું આ સર્વોચ્ચ દ્રષ્ટાંત છે. અહીં લેખકે જાણે નંજમ્માને અંતિમ અર્ધ્ય આપી દીધો છે. આ ગૌડજી નંજમ્મા માટે રહેવાની સગવડ કરી આપે છે.
બાહ્ય અને આંતરિક મુશ્કેલીઓ વચ્ચે ઝઝૂમતી રહેલી નંજમ્માનું જીવન એક પછી એક દુઃખમાં અટવાય છે. એ વચ્ચે થોડી સુખદ ક્ષણો આવે છે. પાર્વતી મોટી થાય છે. એ દેખાવડી છે. સૌ મુગ્ધ થઈ જાય એવાં નેણ – નાક વાળી છે. નાની નંજમ્મા જ જોઈ લ્યો જાણે. નંજમ્માને પાર્વતીને પરણાવવાનો વિચાર આવે છે. ગામમાં એ રિવાજ છે છોકરી ઋતુવતી થાય પછી એને કોઈ પરણે નહીં. તે પહેલા વર ગોતવો પડે. આધુનિક અભિગમ ધરાવતી નંજમ્મા તેના પતિ જેવો વાર પુત્રીને ને ન મળે એમ વિચારીને નંજમ્મા પાર્વતીની પસંદગીને પ્રાધાન્ય આપે છે. નંજમ્મા પોતાની બધી જ ભૂમિકામાં સફળ થઇ છે. મા, પત્ની, પુત્રવધુ, જેઠાણી, ભાડુઆત, શિષ્યા અને પૌત્રી તરીકે. તેની કોમળતાની રગ હંમેશાં લીલી રહી છે.
નંજમ્માની વિધાયકતા છેક સુધી ટકી રહી છે. એ ગામના શિક્ષક પાસે જાય છે અને શિક્ષકને પુત્રી માટે વર શોધવાનું કહે છે. આ પણ આ ભૈરપ્પાની કમાલ છે. શિક્ષક આશ્વાસન આપતાં સારો છોકરો શોધવાનું વચન આપે છે. અચાનક એક દિવસ પાર્વતી ઋતુવતી થઈ બેસે છે અને નંજમ્માને ફાળ પડે છે કે જમાઈ નહીં મળે તો ? એટલે એ આ ઘટના છુપાવે છે. એ દરમિયાન માસ્તર માગું લઈને આવે છે. છોકરાનું નામ સૂર્યનારાયણ છે. એ સત્યાવીસ વર્ષનો છે. એની પ્રથમ પત્ની ગુજરી ગઈ છે. એને નાની દીકરી છે રત્ના. પણ છોકરો પાર્વતીને લાયક છે અને મા-દીકરીને એ પસંદ પડે છે. તે દરમિયાન નંજમ્માના પિતા પોતાના દિકરા માટે પાર્વતીનું માગું લઈને આવે છે. નંજમ્મા વિચારવા માટે સમય માંગે છે અને પછીથી પિતાને આ અંગે નકાર ભણે છે. આમ કહેવાની તાકાત તેનામાં છે. આ તાકાત તેને વારસામાં મળી છે. નંજમ્માના પિતા ગુસ્સે થઈને પુત્રી સાથે સંબંધ કાપી નાખે છે અને પછી સૂર્ય નારાયણ એના જીવનમાં આવે છે. એ બહુ સુંદર શિક્ષક છે. નંજમ્માને એ કહે છે તેમ પાર્વતી એને ગમી છે. એ પાર્વતી પાસે પોતાની પુત્રી રત્નાનું માતૃત્વ ઈચ્છે છે. આ ક્ષણે પણ નંજમ્મા પુત્રી પાસે નાનકડી રત્નાને પ્રેમ કરવાનું વચન માગે છે. પાર્વતીનું લગ્ન થાય છે. પણ નંજમ્માનું કમનસીબ તો જુઓ ! પાર્વતીને પ્લેગ લાગુ પડે છે. બંને હાથમાં ગાંઠ થાય છે. નંજમ્મા તેને બચાવવા પ્રત્યનો કરે છે. બીજી બાજુ નંજમ્માને પુત્ર રામણ્ણા ભણવા ગયો છે. તે પણ પ્લેગમાં સપડાય છે અને મૃત્યુ પામે છે. નંજમ્મા પર દુઃખના ઝાડ ઉગે છે. નંજમ્મા સાવ એકલી પડી જાય છે. કૃતિના કરુણ રસની અહીં પરાકાષ્ઠા આવી જાય છે. અહીં કાવ્ય ન્યાય નથી જળવાયો નથી નથી એવું અનુભવાય છે.
નંજમ્માએ પોતાની જાતને પ્રશ્ન કર્યો હતો : ‘મારા જીવનમાં છે શું?’ પતિનો પ્રેમ ? સાસુ નો સ્નેહ ? પિયરનું સુખ ? તોય હું જીવતી રહી, બાળકો થયા. હવે એ પ્રશ્નનો જવાબ શોધું છું કે હું શું કામ જીવું છું તો જવાબમાં છોકરાં સામે આવી જાય છે.’ આ જ છે નંજમ્માના જીવનની કરુણતા.
આ પછીનું નંજમ્માનું જીવન દુઃખોની હારમાળા સમું વીતે છે. સાસુનું મૃત્યુ, પતિની વિચિત્રતાઓ અને પુત્ર વિશ્વની જવાબદારી. નંજમ્મા એને પસાર કરતી રહે છે. ‘ગૃહભંગ’માં ક્રમશઃ બધાનું ઘર ભાંગતું રહે છે. પણ વિશ્વાનું ભવિષ્ય આવું ન બને એ માટે મહાદેવય્યાજી એને ભૂતકાળના પડછાયામાંથી બહાર કાઢે છે. કૃતિમાં પછીથી બનતી અનેક કરુણ ઘટનાઓ શીર્ષકને જુદી જુદી રીતે ઉપસાવતી રહે છે. એને આ ગૃહભંગ ભોગવવાનું, જોગવવાનું ન આવે એ જ મહાદેવય્યાજીનો હેતુ છે. કૃતિને અંતે ઢાળ ઉતરતો વિશ્વા જીવતરનો ઢાળ પણ ઉતરી જાય છે.
સમગ્ર કૃતિમાં કથાવસ્તુ, પાત્રો, ભાષા, પરિવેશ આ સઘળું કાંઈ એને એક ઉત્તમ તળપદી પ્રાદેશિક કૃતિ સિદ્ધ કરે છે. ગૃહભંગની સાથોસાથ અહીં જીવતરના અનેક ભ્રમો પણ ભંગ થતા રહે છે ને કૃતિનો કરુણ ઘૂંટાતો રહે છે. નંજમ્માને અનુલક્ષીને મહાદેવય્યાજીને જાગેલો પ્રશ્ન શાશ્વત બનીને સહૃદયના ચિત્તમાં પડઘાય છે : ‘ઈશ્વર સજ્જનોની રક્ષા કરે છે, દુર્જનોને દંડ દે છે – પણ નંજમ્માએ શું બૂરું કર્યું ? સાસુની મૂર્ખતા અને પતિની હિનતાનું કષ્ટ એણે શું કામ વેઠવું પડ્યું ? પ્લેગે શું એના જ ઘરમાં એના જ બાળકોને અને છેવટે એને જ ઝડપવા આવવાનું હતું ? એમણે તત્વ અને લાવણીના પદોમાં વાંચ્યું હતું કે સંસારમાં ધર્મ-કર્મને આધારે સજા આપવા માટે ભગવાને રોગ, બિમારીઓ પેદા કરી છે. તેઓ પણ એમ જ સમજતા હતા, પણ હવે સમજમાં ઉતરનું નહોતું આ રહસ્ય.’ આ મૂંઝવણ ગૃહભંગની લગોલગ સહૃદયના ચિત્તમાં ન્યાયભંગની લાગણીને પણ ઉદ્દીપ્ત કરે છે. કૃતિની આ પ્રકારે થયેલી માવજત તેને નોંખી મુદ્રાની કૃતિ ઠેરવે છે.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સમુદ્ર કિનારા ધોવાય છે, પહાડોની ટેકરીઓ ખોદાય છે
નિસબત
ચંદુ મહેરિયા
ખતરનાક બિપરજોય વવાઝોડાના સંકટને ગુજરાતના સાબદા વહીવટીતંત્રે પાર પાડ્યું છે. અગમચેતીના પગલાંને કારણે માનવમૃત્યુ અટકાવી શકાયા છે. જોકે વાવાઝોડાની બીજી ઘણી અસરો ટાળી શકાઈ નથી. વાવાઝોડાથી થયેલી નુકસાનીનો તાગ મેળવાઈ રહ્યો છે. તેમાં ગુજરાતના દરિયાકાંઠાને અને કિનારા નજીકના વિસ્તારોને થયેલા નુકસાનનો સમાવેશ થાય છે કે કેમ તેની ખબર નથી.પરંતુ કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય હસ્તકના નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ( એનસીસીઆર)નો તાજો રિપોર્ટ જણાવે છે, બલકે ચેતવે છે કે, દેશની સમુદ્રી સીમા વાવાઝોડા, સમુદ્રી જળસ્તરમાં વધારો અને બીજાં કારણોથી ધોવાઈ રહી છે, સંકોચાઈ રહી છે. અને કિનારાના વિસ્તારો સમુદ્રમાં ગરકાવ થઈ રહ્યા છે.

સાંદર્ભિક તસવીર – નેટ પરથી હિંદ મહાસાગર,અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર ભારતમાં આવેલા ત્રણ સમુદ્રો છે. દેશના અગિયાર રાજ્યોમાં વિસ્તરેલો કુલ સમુદ્ર તટ ૬૯૦૭ કિ.મી.નો છે. સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ, ચેન્નઈના અહેવાલ પ્રમાણે સમુદ્ર કિનારાનો ઘણો હિસ્સો છેલ્લા ત્રણ દાયકામાં ક્ષતિગ્રસ્ત થયો છે. ગુજરાતના ૫૩૭.૫૦ કિ.મી.ના સમુદ્રકિનારાનું ધોવાણ થયું છે. તમિલનાડુનો ૪૨૨.૯૪ કિ.મી. અને આન્ધ્રપ્રદેશનો ૨૯૪.૮૯ કિ.મી. દરિયાકિનારો ધોવાઈ ગયો છે. ટકાવારીની દ્રષ્ટિએ કેરળના કુલ પૈકી ૫૬.૨ ટકા, તમિલનાડુના ૪૨.૭ ટકા અને ગુજરાતના ૩૬.૨ ટકા દરિયાકિનારાનું ધોવાણ થયું છે.
દેશના સૌથી સુંદર પુડુચેરી અને નાનકડા દમણ-દીવના દરિયાકિનારા પણ ધોવાણમાંથી બાકાત નથી. દેશના ઝડપી ધોવાણના લગભગ સો દરિયાકિનારા અલગ તારવ્યા છે. તેમાં ચોથા ભાગના(૨૮) તમિલનાડુના છે. તે પછીના ક્રમે પશ્ચિમબંગાળ (૧૬) અને આંધ્રપ્રદેશ (૭) છે. નેશનલ સેન્ટર ફોર ઓસન ઈન્ફરમેશન સેન્ટરના આંકડા પ્રમાણે ૧૯૯૦ થી ૨૦૧૮ના અઠાવીસ વરસોમાં સમુદ્રના જળસ્તરમાં વધારાના કારણે કિનારા વિસ્તારોમાં ફેરફાર થયા છે. આ વરસોમાં કિનારાનો ૩૩ ટકા વિસ્તાર સમુદ્રમાં ગરકાવ થઈ ગયો છે અને ૨૬ ટકા પર ખતરો છે.
samudr સમુદ્ર તટના સંકોચન, ધોવાણ કે તટ વિસ્તારોના સમુદ્રમાં વિલીન થવાની સમસ્યા મુખ્યત્વે માનવસર્જિત છે. જળવાયુ પરિવર્તનને કારણે સમુદ્રના જળસ્તરમાં વૃધ્ધિ થાય છે.ઓઝોનના કવચનો નાશ તથા વાતાવરણમાં કાર્બન મોનોકસાઈડનું વધતું પ્રમાણ પૃથ્વીનું તાપમાન વધારે છે. તેનાથી સમુદ્રનું જળસ્તર વધે છે. તેના અને સમુદ્રી તોફાનો કે વાવાઝોડાને કારણે દરિયાકિનારાનું ધોવાણ થાય છે. સાગરની લહેરોની દિશા બદલાવાની બાબત ઘણી બાબતો પર નિર્ભર છે. પરંતુ સમુદ્ર કિનારાના સંરક્ષણનો અહેવાલ સ્પષ્ટપણે આ માટેનું સૌથી મોટું કારણ દરિયાકિનારે વધતું શહેરીકરણ અને ઔધ્યોગિકરણને ગણાવે છે. ઉધ્યોગો અને શહેરો દરિયાકિનારાની સાવ નજીક આવતાં કિનારા પરની હરિયાળી નાશ પામી છે, જે ધોવાણ અટકાવતી હતી. જમીનનું ધોવાણ અટકાવવા માટેના મેગ્રોવને મહાનગરોમાં નામશેષ કરાયા છે. પુરીના દરિયાકિનારે લગાવેલા ખજૂરીના ઝાડ પણ કાપી નાખવામાં આવ્યા છે. તેથી ધોવાણ થતું અટકતું નથી.
દરિયામાં વિસર્જિત થતી ઘણી નદીઓના મિલનસ્થળ પર ખાડીઓનું અસ્તિત્વ જેવી ભૌગોલિક સ્થિતિ પણ આ માટે જવાબદાર છે. નદીઓના મુખની સ્થિતિ પણ સમુદ્રના વ્યવહારને અસ્થિર કરે છે. ભરતી-ઓટ, પવનની દિશા અને નદીઓના પ્રવાહમાં પરિવર્તન પણ સમુદ્રને અસર કરે છે. પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ ૧૯૮૬ અન્વયે સમુદ્ર કિનારાના સંરક્ષણ માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન( સીઆરઝેડ) અને નો ડેવલપમેન્ટ ઝોન બનાવ્યા છે. પરંતુ તેના અમલના અભાવે સમુદ્રકિનારાની નિર્ધારિત સીમાની અંદર કે નજીક બાંધકામો થાય છે. જે સમુદ્રતટને અને કિનારાના વિસ્તારોને અસર કરે છે.
કિનારા વિસ્તારોના દરિયામાં વિલોપનની ગંભીર આર્થિક, સામાજિક અને પર્યાવરણીય અસરો પેદા થાય છે. કિનારે રહેતા માછીમારો, ખેડૂતો અને વસ્તીઓ સામે અસ્તિત્વ ટકાવવાનું સંકટ પેદા થાય છે. ઘણા લોકોને વિસ્થાપિત થવું પડે છે. નદીઓ અને સમુદ્રના મિલન સ્થળોના ધોવાણને કારણે નદીઓ ગંદી બને છે. કોઈ શહેરો ડૂબી જવાનો કે પ્રલયનો ખતરો હજુ ઉભો થયો નથી પરંતુ આ સ્થિતિ ચાલુ રહેવાથી ભવિષ્યમાં તેમ થવાની શક્યતા નકારી શકાતી નથી. કેરલના ત્રિવેન્દ્રમ જિલ્લાના ૫૮ કિલોમીટરના સમુદ્ર કિનારાનો ૨.૬૨ વર્ગ કિ.મી. હિસ્સો છેલ્લા પંદરેક વરસોમાં તૂટીને સાગરમાં સમાઈ ગયો છે. આ ધોવાણ હજુ વધશે તેવું યુનિવર્સિટી ઓફ કેરલનું સંશોધન જણાવે છે. દુનિયાના અડધા રેતીલા સમુદ્ર તટ(બીચ) આ સદીના અંતે ગાયબ થઈ જશે તેવો અભ્યાસ દર્શાવે છે કે આ એક વૈશ્વિક સમસ્યા છે પરંતુ ભારતમાં તે બહુ ઝડપથી વકરી રહી છે.
કુદરત સાથેની મનુષ્યની છેડછાડનું બીજું ઉદાહરણ પહાડોમાં થતું માઈનિંગ (ખાણકામ) છે. ગુજરાતના ખેડબ્રહ્માથી દિલ્હીના રાયસીના હિલ સુધી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી એ ચાર રાજ્યોમાં ફેલાયેલી ૬૭૦ કિ.મી.લાંબી અરવલ્લીની વિશ્વની પ્રાચીનતમ પર્વતશ્રુંખલા એક સદી પછી લુપ્ત થઈ જવાની દહેશત ઉભી થઈ છે. કેન્દ્રીય વિશ્વવિધ્યાલય રાજસ્થાનના સંશોધકોએ ચાર રાજ્યોની સરહદો પર સેટેલાઈટ ઈમેજ અને જમીન વપરાશના નકશાનો અભ્યાસ કર્યો છે. ૧૯૭૫ થી ૨૦૧૯ના ૪૪ વરસોના તેમના અભ્યાસનું તારણ છે કે અરવલ્લીની ૫૭૭૨.૭ ચો.કિમી. પર્વતમાળા, જે કુલ પર્વતમાળાનો ૭.૬ ટકા હિસ્સો છે, માઈનિંગમાં નષ્ટ કરી દેવામાં આવ્યો છે.
વહીવટી તંત્ર અને રાજકારણીઓની ઓથને લીધે ખાણમાફિયાઓ આમ કરી શક્યા છે. અદાલતો, ખાસ કરીને સર્વોચ્ચ અદાલત, ની દરમિયાનગીરીથી અરવલ્લીના અસ્તિત્વ સામેનું સંકટ બહાર આવ્યું છે. અરવલીનો ૮૦ ટકા હિસ્સો રાજસ્થાનમાં છે અને રાજસ્થાનને થારના રણવિસ્તારને આગળ વધતું તે અટકાવે છે પરંતુ રાજસ્થાનમાં પણ ખાણમાફિયાઓનું જોર છે. ૧૩૮માંથી ૨૮ પહાડી ટેકરીઓ રાજસ્થાનમાં ગાયબ થયાનું ખુદ સરકારે કબૂલ્યું છે.
હરિયાણા સરકારે ૨૦૧૯માં અરવલ્લીના સંરક્ષિત વન ક્ષેત્રમાં થયેલા ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા, નવા બાંધકામની મંજૂરી આપવા અને વૃક્ષો કાપવા કાયદો સુધાર્યો હતો. આ સુધારાથી અરવલ્લીની ૨૯૬૮૨ હેકટર સંરક્ષિત જમીન બાંધકામ માટે ખુલ્લી થવાની હતી પરંતુ સુપ્રીમ કોર્ટે હરિયાણાના લો એમેન્ડમેન્ટને સ્ટે કર્યો હતો. તેથી અરવલ્લીનું કામચલાઉ રક્ષણ થયું છે.
અરવલ્લી પર્વતમાળા ક્ષેત્રમાં ૧૯૮૦માં ૨૪૭ વર્ગ કિ.મી.માં વસ્તી હતી. ૨૦૨૧માં ૬૩૮ વર્ગ કિ.મી. થઈ છે. તેના ૪૭ વર્ગ કિ.મી. વિસ્તારમાં કારખાના છે. એકવીસમી સદીના આરંભે અરવલ્લીનો ૮૦ ટકા વિસ્તાર લીલોછમ્મ હતો, જે વીસ વરસમાં ઘટીને ૭ ટકા જ રહ્યો છે. શહેરીકરણ, જમીનઅતિક્રમણ અને ગેરકાયદે ખાણકામ અરવલ્લીની બરબાદી નોતરી રહ્યા છે. કેટલીક પહાડીઓ ખીણમાં કે ઉજ્જડ જમીનમાં ફેરવાઈ ગઈ છે તો કેટલીક પર વસાહતો બની ગઈ છે.
પ્રદૂષણ, રેતીના વંટોળ-આંધીમાં વૃધ્ધિ, રણનો વિસ્તાર અને દુષ્કાળનો ભય જેવી ગંભીર અસરો અરવલ્લીની ટેકરીઓ લુપ્ત થવાથી થશે. સમુદ્ર કિનારાનું ધોવાણ અને પહાડોનું અત્યાધિક દોહન મનુષ્યના વિનાશનું કારણ બની શકે છે તેનાથી જ્ઞાત હોવા છતાં આપણે કેમ જાગૃત થતા નથી ?
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪ # અંશ ૧ . ૧
જીવનની અર્થવ્યવસ્થાનો વ્યાવહારિક અમલ
દિવ્યભાષ સી. અંજારીઆ
કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં છે.
પ્રસ્તુત પ્રકરણમાં આપણે એ દરેક પાસાંઓ વિષે વિગતવાર વાત કરીશું.
૪.૧ કમાણી
અંશ ૧
અહીં આપણે આપણી અર્થવ્યવસ્થાનાં છ મહત્વનાં પાસાંઓ પૈકી પહેલાં પાસાં, કમાણી,ની જુદી જુદી લાક્ષણિકતાઓને સમજીશું.
કમાણી એટલે શું?
આપણે જુદા જુદા પ્રકારના વ્યવસાયો કરીને કમાણી રળીએ છીએ. આપણે જે કામ કરીએ છીએ તેનો એ પુરસ્કાર છે, આપણી મહેનતનું તે ફળ છે.
અર્થશાસ્ત્રનાં વિજ્ઞાન માટે આવક એ આપણે કરેલાં કામના બદલામાં નાણાં રૂપે મળતું વળતર છે.
જીવનની અર્થવ્યવસ્થામાં કામ કરનારને માન, સન્માન કે પછી માત્ર અંગત સંતોષ જેવાં કોઈ પણ સ્વરૂપે તેનાં કામની થતી કિંમત એ તેને મન કમાણી બની રહે છે.
આપણાં રોજબરોજનાં જીવનમાં આપણે અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનનું નાણાકીય ખર્ચાઓ અને લાભાલાભોનું મોડેલ અને કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી એવું ષટકોણીય મોડેલ, એમ, સંદર્ભ અને સમયની માંગ અનુસારનાં, બંને મોડેલનો ઉપયોગ કરી લેતાં રહેતાં હોઈએ છીએ.
કમાણીનું સ્વરૂપ કેવું હોય? તેની ગણતરી શી રીતે કરી શકાય?
કમાણી જીવનની અર્થવ્યવસ્થાનું વિચારબીજ છે. નાણાં માપી શકાય તેમ છે અને અર્થશાસ્ત્રીઓને સમજાય એવું માધ્યમ છે એટલે અર્થશાસ્ત્રનું વિજ્ઞાન તો એમ જ માની લે છે કે આપણાં માટે નાણાં જ કમાવાનું જરૂરી છે. પણ, આપણાં જીવનમાં આપણે નાણાં ઉપરાંત માનસન્માન, બીજાઓ દ્વારા આપણાં કામની કદર, જરૂરના સમયે આવશ્યક એવી મદદની હૂંફ અને એવું બીજું ઘણું રળી લેતા હોઈએ છીએ. આ બધી બાબતો આપણાં જીવનને અર્થપૂર્ણ કરી શકે છે. જોકે અર્થશાસ્ત્રીઓ તો એમ જ માને છે કે નાણાં વડે જ જીવન સમૃદ્ધ થાય॰
કમાણી કેટલી હોવી જોઈએ ?
અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે સામૂહિક અર્થશાસ્ત્રના પ્રવાહોના તેમના અભ્યાસોના આધારે સમાજના કયા સ્તરના કયાં લોકોની જરૂરિયાતો પૂરી કરવા એમની કમાણી કેટલી હોવી જોઈએ તે તો તેઓ નક્કી કરી શકે તેમ છે. પણ આપણી દરેકની જરૂરિયાતો આગવી હોય છે, એટલે આપણી કમાણી કેટલી છે તેની ‘ગણતરી’ કરીને, આપણી જરૂરિયાતને સંતોષવા માટે એટલી કમાણી ‘પુરતી’ થઈ રહેશે કે નહીં એ નક્કી પણ આપણે જ કરી શકીએ.
કેટલી કમાણી પુરતી છે એ નકકી કરતી વખતે, આપણે એવું માની શકીએ, કે પછી આપણને એમ કહેવામાં આવી શકે, કે જરૂરિયાત સંતોષાય એટલી ‘ખપજોગ’ કમાણી હોય તો બહુ થયું. આવી બધી તર્કપૂર્ણ ગણતરીઓ કરવી જોઈએ વાત તો બરાબર જ છે. પણ આવી ગણતરીઓ, મોટા ભાગે, આગળ જતાં સફળ જ રહેશે એવી કોઈ ખાતરી નથી. જેમ જેમ આપણે જરૂરિયાત સંતોષાવાની કક્ષાની નજદીક પહોંચવા લાગીએ છીએ, તેમ તેમ આપણી એ બાબતની અપેક્ષાઓની ક્ષિતિજ દૂર જવા લાગે છે. આમ જરૂરિયાત સિદ્ધિનું લક્ષ્ય જ જ્યાં બદલાતું જતું રહેવાનું હોય ત્યાં કમાણીનું કોઈ પણ સ્તર, આપણી જરૂરિયાતો સંતાષવા માટે, ‘પુરતું’ બની રહેશે એમ ક્યાંથી નક્કી કરી શકાય ! એટલે જ, જ્યારે આપણને પોતાને એમ સંતોષ થાય કે આપણી પોતાની બધી જરૂરિયાતો પૂરી થઈ શકે એટલી આપણી કમાણી છે, ત્યારે એ કમાણી, એ સમયે, એ સંદર્ભમાં, ‘પુરતી’ છે.
જોકે ખપજોગ કેટલી કમાણી બસ થઈ રહેશે, કે કેટલી કમાણી પુરતી ગણી શકાય, એવી ગણતરીઓ માંડવા માટે મદદરૂપ થાય એવી કેટલીક માર્ગદર્શિકાઓ જરૂર વિકસાવી શકાઈ છે.
જેમકે, આપણી સર્વ પ્રથમ જરૂરિયાત છે આજની ભૂખ સંતોષવી. એ સંતોષાય એટલે આપણે કાલની જરૂરિયાત માટે કેટલી કમાણી જરૂરી થશે તેની ગણતરી કરીએ છીએ. તે સાથે સાથે, આપણાં પોતાનાં કુટુંબનાં વર્તમાન તેમ જ ભાવિ ભરણપોષણની જરૂરિયાત માટે ઓછામાં ઓછી કેટલી કમાણી જોઈશે તે પણ આપણી ગણતરીની અગ્રતાના ટોચના ક્રમે હોય છે.
સ્વાભાવિક છે કે કમાણીની ગણતરીમાં નાણાંનાં રૂપમાં મળતાં વળતરની સાથે આપણને મળતા બીનનાણાકીય લાભોને પણ ઉમેરવા જરૂરી છે.
આપણે એ પણ યાદ રાખવું જોઈશે કે ઝડપથી વધતી જતી અનિશ્ચિતતાઓના આજના સમયમાં આજની કમાણી અને તેને લાગતાં ભવિષ્યનાં આયોજનો પ્રસ્તુત બની રહેશે કે કેમ તે વિષે કંઇ જ અનુમાન કરવું મુશ્કેલ બનતું જાય છે. એવા સંજોગોમાં આજની કમાણીની અંદર રહીને જ ભવિષ્યની અનિશ્ચિતતાની સામે જરૂરી સલામતીની પુરતી વ્યવસ્થાને પણ આવરી લેવું આવશ્યક બનતું જાય છે.
આ ઉપરાંત ઘણાં લોકો વૃદ્ધાશ્રમો કે શાળાઓ કે ઇસ્પિતાલો કે લંગરો કે કુદરતી આફતો સામે પીડિત લોકોને સહાય પૂરી પાડવા જેવી સેવા સંસ્થાઓ ચલાવતાં હોય છે, કે પછી એવી સંસ્થાઓને માટે નિયમિત, અથવા પ્રસંગોપાત, સખાવતો કરતાં હોય છે. બીજા માટે કરીને પોતે કમાણી કરવી એ આવક ઉપાર્જન માટેનું બહુ ઉમદા કારણ છે. આવી કમાણી માટે કમાણી ‘પુરતી’ હોવાની કોઈ મર્યાદા જ ન હોઈ શકે. જે લોકો બહુ નાને પાયે, પ્રસંગોપાત પણ, સખાવત કરતાં હોય એ લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત પોતાના આ ઉદ્દેશ્યો માટે પણ પોતાની પાસે વધારેમાં વધારે બચત રહે એવી વધારેમાં વધારે કમાણી કરી શકવા પ્રયત્નશીલ રહેતાં હોય છે.
અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનમાં એક વ્યક્તિ તરીકે આપણા માટે કેટલી કમાણી પુરતી હોવી જોઈએ, કે બીજા માટે કરાતી કમાણી જેવી બાબતોનો સમાવેશ નથી થતો. એટલે, અર્થશાસ્ત્રીઓ તો પર્યાપ્ત કમાણી કે આવશ્યક કમાણીની તેમની વ્યાખ્યા અનુસાર આપણી નાણાકીય જરૂરિયાતોની ગણતરીઓ માંડી લેતા હોય છે.
અર્થશાસ્ત્રીઓમાંનો એક વર્ગ સાર્વત્રિક મૂળભૂત આવક – Universal Basic Income – UBI – ના વિચારની તરફેણ કરે છે. આ વિચાર મુજબ દેશની સરકારો દ્વારા જીવન ટકાવવા પુરતી ઓછામાં ઓછી આવક પણ ન મેળવી શકતા પરિવારોના સમાજના વર્ગને એટલા પૂરતો ટેકો થાય એટલી આવક સરકારી નાણાકોશમાંથી મળે તેવી જોગવાઈ કરવાની પ્રસ્તાવના છે. તેમના મત અનુસાર આમ કરવાથી દેશનાં અર્થતંત્રને સામૂહિક સ્તરે બહુ મોટું બળ મળી રહી શકે તેમ છે, જોકે, ઓછામાં ઓછી આવક કેટલી હોવી જોઈએ એ માટેના માપદંડો તો તેમની પોતાની વ્યાખ્યા અનુસારની ઓછામાં ઓછી જરૂરિયાતો માટે જરૂરી નાણાકીય આવકની ગણતરીઓ પર જ નિર્ભર રહે છે.
પોતાની જરૂરિયાતો અને પૂરતી આવક માટેની દરેક વ્યક્તિના પોતપોતાના આગવા દૃષ્ટિકોણ અને માન્યતાઓ હોય છે એ અર્થશાસ્ત્રીઓ દ્વારા બાબત ગણતરીમાં ન લેવાવાને કારણે અનેક દેશોમાં અલગ અલગ સ્વરૂપે લાગુ કરાયેલી આવી યોજનાઓનાં ધાર્યા પરિણામો નથી આવ્યાં. ઘણા કિસ્સાઓમાં આવી બેઠી આવકોને કારણે કુટુંબોમાં શરાબ કે જુગાર જેવી બદીઓ ફેલાવા જેવાં અણઅપેક્ષિત પરિણામોના અનેક કિસ્સાઓ આપણા દેશમાં પણ જોવા મળ્યા છે.
- આપણાં જીવનમાં જેમનું મહત્વ છે તે બધું મેળવવા જરૂરી કમાણી કરવા શું કરીશું?
- આપણી આવડત, આપણાં કૌશલ્ય, આપણી મહેનતના બદલામાં આપણને કેવાં વળતરની અપેક્ષા છે?
- આપણી નાણાકીય તેમ જ બીનનાણાકીય કમાણીનો હિસાબ આપણે શી રીતે કરવા ધારીએ છીએ?
- આપણે કેટલી કમાણી કરવી છે?, કે
- આ બધાં વિશે જરૂરી આર્થિક નિર્ણયો આપણે કેમ લેવાનાં છીએ?
જેનું મૂળ આપણી જીવન પ્રત્યેની મૂળભૂત જીવનદૃષ્ટિમાં રહેલ છે એવા, આપણા જીવનની અર્થવ્યવસ્થા વિશેના આપણા આવા બધા દૃષ્ટિકોણ વડે કમાણી વિષેની આપણી વિચારસરણીથી ઘડાય છે.
અર્થશાસ્ત્રનું વિજ્ઞાન આપણી કમાણી નાણાનાં માપદંડથી માપે છે, તો જીવનની આપણી અર્થવ્યવસ્થા આપણે કરેલ કામના પૈસાની સાથે અન્ય પુરસ્કારો દ્વારા પ્રાપ્ત થતાં સુખથી કમાણીનો હિસાબ કરે છે.
આપણી પોતપોતાની જીવનદૃષ્ટિના, આપણાં પોતાનાં અર્થઘટન પ્રમાણે, આપણા પોતાના આગવા માપદંડો મુજબ, આપણને મળતાં વળતરોની આપણે ગણતરી કરીને આપણી અપેક્ષાની સરખામણીમાં ખરેખર મેળવી શકેલાં સુખનો હિસાબ માંડીએ છીએ.
આમ, અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનની કેદની નીતિઓ સમજીને તેમજ નાણાં સ્વરૂપ જેલરે દોરેલી નિયમોની સીમાના દાયરામાં રહીને પણ આપણા આર્થિક નિર્ણયો લેવાની આપણી સ્વતંત્રતા આપણે ત્યજી નથી દેતાં.
એટલે કે, નાણાંને સુખના માપદંડ તરીકે અવગણી શકાય?
આપણે એક એવા સભ્ય સમાજમાં રહીએ છીએ જેનાં માળખાનાં ઘડતરમાં નાણાં અને તેના દ્વારા ચાલતી અર્થવ્યવસ્થાનું આગવું મહત્ત્વ છે.
આ વાત આપણે બરાબર સમજીએ છીએ, અને માટે જ એ સમાજની આર્થિક જેલ અને નાણાં સ્વરૂપ જેલરનાં અસ્તિત્વને આપણે સ્વીકારીએ પણ છીએ.
એટલે, નાણાંને સાવેસાવ તો અવગણી ન શકાય. પણ નાણાં થકી જે કંઈ સુખ મળે એટલું જ તેનું આપણાં જીવનમાં મહત્ત્વ હોઈ શકે॰ આપણું મન જ્યાં જરા પણ નથી લાગતું એવા ખૂબ પૈસા કમાવી આપતા વ્યવસાયમાં આપણે શું કાયમ સુખી રહી શકીશું? ભલે વળતર કદાચ થોડું ઓછું હોય પણ મનનાં સુખ અને શાંતિ મળે એવા વ્યવસાયને આપણે કેમ સ્વીકારી લેતાં હોઈએ છીએ? આર્થિક ઉપાર્જનની વ્યસ્તતામાં જો આપણે કળા, વાંચન, બહાર ફરવા જવાના જેવા આપણાં શોખના આપવા પડતાં ભોગ આપણને શા માટે ખૂંચે છે
નાણાં માત્રથી જ સુખ મળશે એવું જરૂરી નથી. નાણાં ભૌતિક સુખો લાવી આપશે પણ આપણાં જીવનની સફળતાનું અંતિમ લક્ષ્ય તો મનમાં અનુભવાતી સુખની અનુભૂતિ જ છે. એટલેકે, નાણાંની જીવનમાં જરૂર છે પણ જીવનની સુખશાંતિ માટે તે એકલાં જ પર્યાપ્ત નથી. આર્થિક જેલમાં રહીને આપણે આપણાં જીવનને કુંઠિત નથી થવા દેવાનું, પણ ધબકતું, વિકસતું રાખવાનું છે. નાણાંકેન્દ્રી અર્થવ્યવસ્થામાં આર્થિક કમાણી કરતી પ્રવૃતિ જરૂરી છે, પણ એટલી જ જરૂરી એ પ્રવૃતિઓમાં વણાયેલી નાની નાની વિગતોનું વિષયવસ્તુ છે. પેઢીઓ સુધી ન ખૂટે એટલી આર્થિક સંપતિ ધરાવનારને એ સંપત્તિ જાળવી રાખવાની ચિંતામાં રાતની સુખની નીંદર પણ ન આવતી હોય એવા દાખલા આપણાથી ક્યાં અજાણ્યા છે !
પરંપરાગત નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થામાં નાણાં કમાવાં પડતાં હતાં અને નાણાં પર નિર્ભર રહેવું પડતું હતું એ હકીકત તો છે. પણ હવે બીનનાણાકીય સાધનોથી પણ સુખમય જીવન વિતાવી શકાય એવી અર્થવ્યવસ્થા પણ વિકસી રહી છે, જ્યાં નાણાંની કમાણી ઉપરાંત બીનનાણાકીય વળતરો પણ હવે જીવનનાં સુખના માપદંડો તરીકે સર્વસ્વીકૃત થવા લાગ્યા છે.
હવે, ભૌતિક જરૂરિયાતોની ચીજવસ્તુઓ, સેવાઓ કે સગવડો પુરી પાડવા સાથે જે અપેક્ષિત સુખ પણ પૂરું પાડે તે કમાણી ‘પર્યાપ્ત’ ગણાય છે. મહેનત આપણી છે, કમાણી આપણી છે અને સુખની વ્યાખ્યા પણ આપણી જ છે, તો શું અને કેટલી કમાણી પર્યાપ્ત છે તે અર્થશાસ્ત્રી નક્કી કરશે કે આપણે નક્કી કરીશું?
આ પ્રકરણના હવે પછીના મણકામાં આપણે નાણાં શા માટે જરૂરી છે અને તે કેમ કમાઈ શકાય તે વિષે વાત કરીશું
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
કલાનિષ્ઠ પરિપૂર્ણતાની સફર
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
THe journey of Artistic Fulfilment – Kalasampoot by Mahendra Shah
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
કાર્ટૂનકથા : [૫]
બીરેન કોઠારી
આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
‘વારેવા’ના પાંચમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં. હજી વિવિધ અખતરા અમે કરી રહ્યા હતા. અત્યાર સુધી કાર્ટૂન હું સ્કેચબુકમાં ચીતરતો ત્યારે સંવાદ પણ પેન વડે સ્પીચ બલૂનમાં લખતો. પણ એમ જણાયું કે એ રીતે મુદ્રણ પછી અક્ષરો બરાબર વાંચી શકાતા નથી. આથી એક અખતરો એવો કરી જોયો કે કાર્ટૂન હું ચીતરીને મોકલું અને એમાં સંવાદ તૈયાર સ્પીચ બલૂનમાં, મુદ્રિત સ્વરૂપે મૂકીએ.
એ મુજબ, આ અંકમાં માત્ર કાર્ટૂન દોરીને મોકલ્યાં હતાં, જ્યારે સંવાદ હાથે લખવાને બદલે મુદ્રિત સ્વરૂપે મૂકાયા હતા. અહીં એ મૂળ કાર્ટૂન અને તેની નીચે સંવાદ મૂકેલાં છે.
ઊધઈ ઊવાચ

ઉધઈ ૧ – (ઘૂંટણિયે પડેલી): “તારે ખોળે છઉં.”
ઉધઈ ૨ – (ઉભેલી): “દાદા દર વખતે આવા સેન્ટિ કેમ થઈ જાય છે?”

“અરે! એવું હોય કંઈ? બૂસ્ટર ડોઝ તો લેવો જ પડે! તો શું કે પાંચ વરસ સુધી ચિંતા નહીં!”
વાર્તાવ્યંગ્ય

વક્તા: “કંઈક નોખું કરવાની પરંપરા અમારી પ્રકાશનસંસ્થાએ હજી જાળવી રાખી છે.”

ગુજરાતી સંપાદનનાં પુસ્તકો માટે લેખકોને નિમંત્રણ મોકલવાની પ્રક્રિયા
(વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
રાઈનો પર્વત (૧૯૧૩) – પ્રસ્તાવના
સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
આ નાટકના વસ્તુ (Plot)નું મૂળ મારા સ્વ. પિતાએ પ્રસિદ્ધ કરેલા ‘ભવાઈ સંગ્રહ’ માં “લાલજી મનીઆર” ના વેશમાં આવે છે.
“સાંઇઆંસે સબ કુચ્છ હોત હે, મુજ બંદેસે કચુ નહીં;
રાઈકું[1] પરબત[2] કરે, પરબત બાગેજ માંહી.”આ દુહા ઉપરથી અને એ દુહા નીચે ટીપમાં આપેલી વાર્તા ઉપરથી લીધું છે. એ આખી વાર્તા આ પુસ્તકના પરિશિષ્ટમાં આપી છે[i]. આ પુસ્તકમાં મુખપૃષ્ઠ ઉપર દોહરો મૂક્યો છે તે એ દુહા ઉપરથી રચ્યો છે. એ દોહરો સૂત્ર સ્વરૂપે લઈ અને એ વાર્તામાં ફેરફાર તથી વધારો કરી આ નાટકની રચના ગૂંથી છે.
સને ૧૮૯૫ ના અરસામાં આ નાટકની મુખ્ય રેખાઓની કલ્પના કરી મેં પુસ્તક લખવા માંડેલું, પણ તે વખતે પહેલો પ્રવેશ લખ્યા પછી આગળ લખવાનું અટકી પડેલું. તે પછી સને ૧૯૦૯ના મે માસમાં આ પુસ્તક લખવાનું ફરી શરૂ કર્યું અને પહેલો પ્રવેશ ફેરફાર કરી ફરી લખ્યો; અને, અવકાશ પ્રમાણે કકડે કકડે આગળા લખી આ માસમાં આ પુસ્તકા હું પૂરું કરી શક્યો છું
અમદાવાદ
તા. ૧૩ નવેમ્બર, ૧૯૧૩
રમણભાઈ મહીપતરામ નીલકંઠ
[1] ‘રાઈ’ એ ‘રાયજી’ , એ નામનો ‘જી’ કાઢી નાખતા થયેલું નામ છે.
[2] ‘પરબત’ નામનો કોઈ પાદશાહ નથી, એને ફારસી કે અરબી ભાષામાં ‘પરબત’ એવો શબ્દ પણ અન્થી. ‘પર્વત’ ઉપરથી ભવાઈઆઓએ ‘પરબત’ કર્યું હોય, અને ‘પરબત’ કોઈ મુસલમાન પાદશાહ હશે એમ કલ્પ્યું હોય, એમ સંભવે છે.
‘રોઈકું પરબત કરે’ એનું ગુજરાતી ભાષાન્તર ‘રાઈને પર્વત કરે’ એવું થાય; તેને બદલે ‘રાઈનો પર્વત કરે’ એવું મને વધારે ઠીક લાગ્યું છે.
(પ્રસ્તાવનામાં કરેલો ઉલ્લેખ)
(ભવાઈ સંગ્રહમાં “લાલજી મનીઆર”ના વેશમાં)
સાઈઆંસે સબ કુચ હોત હે, મુજ બંદેસે કચુ નાહીં,
રાઈકું પરબત કરે, પરબત બાગેજ માંહી.આ દુહા નીચે ટીપમાં વાર્તા આપી છે તે નીચે પ્રમાણે છે :-
કોઈ પરબત નામે પાદશાહ હતો. તે એક વખત મધરાત્રે ચાંદની ખૂબ ખીલી રહી છે, તેવામાં પોતાના એક સાથીને લઈ શહેર બહાર પોતાનો એક બાગ હતો ત્યાં ગયો. એ બાગમાં સસલાં, હરણ વગેરે પશુઓ બહુ નુકશાન કરતાં હતાં, તેથી તેનો રખેવાળ માળી રાઈ નામે હતો તેણે વિચાર્યું કે એમાંથી થોડાને મારીશ ત્યારે તેઓ કેડો છોડશે. તે રાત્રે કામઠામાં તીર ચડાવીને તૈયાર થઈને બેઠો હતો. એવામાં પાદશાહ અને તેનો સાથી બાગમાં પેઠા. તેમનાં પગલાનો અવાજ સાંભળ્યો કે માળીએ જાણ્યું કોઈ જનાવર પેઠું, ને તે અવાજ ઉપર તીર છોડ્યું. તે પાદશાહની છાતીમાં વાગ્યું, ને તરત તેનો પ્રાણ ગયો. સાથીએ બૂમપાડી કે રાઈ માળી દોડી આવ્યો ને જુવે છે તો પોતાનો ધણી પડ્યો દીઠો. તે ઘબરાયો ને રોવા લાગ્યો. પાદશાહના સાથીએ તેને ધીરજ આપી છાનો રાખ્યો, ને કહ્યું કે , ‘ભાઈ તેં અજાણે આ કામ કર્યું છે, માટે તારી તકસીર નથી. પાદશાહના મરણની વાત શહેરમાં જણાશે તો બધું રાજ ઊંધુ વળશે. તખ્તને લેવા સારુ મોટી લડાઈ જાગશે ને બહુ ખરાબી થશે, માટે આ વાત છાની રાખી તને પાદશાહની જગાએ બેસાડું.’ પાદશાહનો પોશાક ઉતારી સાફ કરી તેને પહેરાવ્યો, અને પેલા શબને ત્યાં જ દાટ્યું. બંને જણા શહેર ભણી ચાલ્યા. રસ્તામાં પેલા સાથીએ માળીને કહ્યું કે, ‘ અલ્યા તું જુવાન છે, પાદશાહ ઘરડો હતો; તારી મૂછોના વાળ કાળા છે, પાદશાના સફેદ હતા; તારી શીકલ ને તેની શીકલમાં ઘણો ફેર છે, તે બેગમો અને દરબારી લોકથી ઢાંક્યું રહેવાનું નથી, માટે હું કહું તેમ તદબીર કરવી.’ રાત પૂરી થયા પહેલાં બંને જણા મંદિરમાં દાખલ થયા, ને માળીને તેમાંથી એક ભોંએરામાં ઉતાર્યો. સાથીએ સવાર થતાં દરબારમાં જાહેર કર્યું જકે, ‘કોઈ મોટો હકીમ પરસદેશથી આવ્યો છે, તેણે પાદશાહને કહ્યું કે જો તમે છ માસ સુધી ભોંએરામાં રહો, કોઇને મળો નહિ, મોઢું દેખાડો નહિ, કોઈની જોડે વાતચીત કરો નહિ, તો એ મુદ્દતમાં હું તમને કેવળ જુવાન કરી દઉં. વાળ ધોળા છે તે કાળા થાય, દાંત પાછા આવે અને ચેરો તો એટલો ફરી જાય કે ઘરનાં માણસ પણ તમને ઓળખે નહિ.’ પાદશાહે એ વાત કબૂલ કરી ને હકીમ તથા પોતે ભોંએરામાં ઉતર્યા છે; વજીર રાજકરભાર ચલાવે એવો હુકમ કર્યો છે. આ હુકમ સર્વેએ માન્ય કર્યો.
બાદશાહને ભોંએરામાં ખાનપાન લૂગડાં પૂરાં પડે. ફાર્સી જુબાન પણ શીખવી તથા રાજદરબારી બોલવા ચાલવાની રીતથી વાકેફ કરી છ માસ પૂરા થયે બહાર કાઢ્યો. બધાએ છેતરાયા. રાઈ માળી હવે પરબતશાહ કહેવાયો. બુદ્ધિમાન હતો, તેથી રાજ ઠીક ચલાવતો હતો. અંદરની વાત પોતે તથા પેલો સાથી બે જણ જ જાણે. એ સાથી બાદશાહને, નિત્ય રાજમિજલસ મળે તેવારે સલામ કરી છાનું હસીને બેસે. બાદશાહને તેના તાબામાં પણ રહેવું પડે ખરું. નવ વરસ એમ કરતાં ગયાં, ત્યારે બાદશાહે તેને એક મધરાત્રે ચાંદરણી ખીલી રહી છે તે વખત એકાંતમાં કહ્યું, ‘ચાલો નદી કાંઠે જઈ સેલ કરીને ફરીએ.’ સાથીએ કહ્યું, ‘ પરબતશાહ કેવો મરી ગયો તે વાત ભૂલી ગયા ! આ વખતે જવું નથી.’ બાદશાહે કહ્યું, ‘ કંઈ ફિકર નહિ, જઈશું.’ બેંને જણ નદી કાંઠે આવી ઊભા. ત્યાં એક ચમત્કાર જોયો. વહેતા પાણીમાં દીવા તણાતા દીઠા. એક જાય ને બીજો આવે. પાદશાહે પોતાના સાથીને કહ્યું, ‘જાઓ જોઈ આવો એ ક્યાંથી આવે છે.’ સાથીએ આનાકાની કરી પણ અંતે જવું પડ્યું. ઉપલાણેથી દીવા આવતા હતા, તેણીમેર ગયો. દીવા આવ્યા જ જાય. જતાં જતાં એક શિવનું દેહેરું આવ્યું. જળાધારી કને માથાવગરનું ધડ પડેલું દીઠું. લિંગના ઉપર ઉંચે ચોટલાવતી માથું લટકતું હતું, તેમાંથી લોહીના ટીપાં લિંગ ઉપર પડતાં હતાં. તે લોહી વહી નીચે ટપકતું હતું, ને તેના દીવા થતા હતા. એ જોઈને તે પાછો વળ્યો ને પાદશાહએ બધો હેવાલ કહ્યો. પાદશાહે પૂછ્યું, ‘તે જોઈ તમારા મનમાં શો વિચાર ઉત્પન્ન થયો ? સાચું કહો.’ તે ઘબરાયો, પણ પાદશાહે વિશ્વાસ આપ્યો. તેવારે બોલ્યો કે, ‘તે વખત મેં એમ કહ્યું, ઓ પ્રભુ ! પેલો માળી પાદશાહ થયો છે તે કરતાં બાપડો વધારે લાએક હતો.’ પાદશાહ બોલ્યો, ‘તેં બરાબર કહ્યું, ‘ તેં જેને ત્યાં જોયો એ હું જ છું. એમ ન સમજતો કે તેં મને પાદશાહ કર્યો છે. મને પરમેશ્વરે કર્યો છે.’
પાદશાહે પછી પોતાની મૂળની વાત કહી. તે રજપૂત રાજાનો દીકરો હતો. તેને મોટો ભાઈ હતો. બાપ મૂવો ત્યારે મોટા ભાઈને ગાદી મળી ને એને તો જીવાત સારુ એક બે ગામ જ મળ્યાં. તેથી તે નારાજ થઈ બારવટે નીકળ્યો. લશ્કર ભેગું કરવાનો, દેશ લૂંટવાનો તથા પોતાના ભાઇને મારવાનો વિચાર કરતો કરતો તે જંગલમાં અયો, ને પેલા શિવાલય આગળ આવ્યો ત્યાં તેણે વિચાર્યું કે, ‘અરે જીવ! મારા સ્વાર્થને સારુ આટલું બધું નુકશાન કરીશ તે કરતાં હું અહીં મસ્તકપૂજા કરું તો મારું કલ્યાણ થાય.’ તરત એ મનસૂબો તેણે અમલમાં આણ્યો. તેના સાથીએ કહ્યું, ‘જો એવું છે તો તું પાદશાહને પેટે કેમ ન જન્મ્યો?’ તેણે જવાબ દીધો, ‘મેં એક ભૂલ કરી. તે એ કે આ નદીમાં નાહી ધોઈ શુદ્ધ થયા વિના એમના એમ મેં મારું મસ્તક વાઢ્યું. તેથી માળીને ઘેર જન્મ્યો. તેથી માળીને ઘેર જન્મ્યો !’ તું નિત્ય મારી સામું જોઈ હસતો હતો તે હું સમજતો; તું આપણી વાત જાહેર કરી મને ગાદી પરથી કાઢી મૂકવા યત્ન કરીશ તે વ્યર્થ જશે, માટે હોશીઆર રહેજે.’ એ સાંભળીને તે સામીએ કહ્યું : ‘સાંઈઆં – સાંઈ=स्वामी- (પરમેશ્વરથી) સબ કુચ હોત હે.
● ●
સ્રોત : વિકિસ્રોત
-
જેણે પાપ કર્યું ના એ કે + ઝાડ એના પાંદડાંને પૂછે
(૧) જેણે પાપ કર્યું ના એ કે
પથ્થર થરથર ધ્રુજે !
હાથ હરખથી જૂઠ્ઠા ને જડ પથ્થર ત્યાં કોણ વેદના બૂઝે ?
અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે,“આ કુલટાને પથ્થર મારી, મારી નાખો !” એમ કિલોલે કૂજે,
એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો‘તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;
હાથ અને પથ્થર બન્નેને જોઈ એનું દિલ દયાથી દૂઝે !આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :”જેણે પાપ કર્યુ ના એકે,
તે પથ્થર પહેલો ફેંકે !”
એકે એકે અલોપ પેલા સજ્જન, ત્યારે શું કરવું ના સૂઝે !
અબળા રહી ને રહ્યો ઓલિયો એનું કવિજન ગીત હજુયે ગુંજે.
– નિરંજન ભગત
(૨) ઝાડ એના પાંદડાંને પૂછે
ઝાડ એના પાંદડાંને પૂછે છે– કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?પાંદડાંએ પૂછ્યું કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે ?ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!
પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતુંતૂટવાનો અર્થ તને અડકે નહીં, તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ !
– રમેશ પારેખ
-
સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત : બીજો પંચવર્ષીય સમયખંડ : ૧૯૪૯થી ૧૯૫૩ – ૧૯૫૦
વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
મોહમ્મદ રફીની સાડા ત્રણ દાયકાની સક્રિય કારકિર્દી દરમ્યાન દરેક વર્ષે એક, અથવા વધુ, સંગીતકાર સાથે સર્વપ્રથમ સહયોગ કરવાનું તેમને બનતું જ રહ્યું
મોહમ્મદ રફીના જન્મદિવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુ તિથિ [૩૧ જુલાઇ, ૧૯૮૦]ની યાદમાં આપણે મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલવહેલાં સૉલો ગીતોને યાદ કરતી શ્રેણી ડીસેમ્બર ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી કરી ચુક્યાં છીએ. મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોમાં તેમનાં યુગલ ગીતોનું સ્થાન અદકેરું જ રહ્યું છે. તેથી સંગીતકાર સાથેનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીનું અનુસરણ સ્વાભાવિક ક્રમ જ બની રહે. કોઈ પણ સંગીતકાર સાથે પહેલાં જ વર્ષમાં મોહમ્મદ રફીનું યુગલ ગીત નોંધાયું હોય એ વર્ષની બધી ફિલ્મોનાં યુગલ ગીત આપણે સાંભળવાનો ઉપક્રમ અહીં પ્રયોજેલ છે.આપણો મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રી-પુરુષ યુગલ ગીતોને યાદ કરવાનો છે. તેમ છતાં જો મોહમ્મદ રફીનું એ સંગીતકાર સાથેનું પુરુષ પુરુષ યુગલ ગીત જે વર્ષમાં પહેલી વાર જોવા મળશે તે વર્ષમાં જ તેને પણ યાદ કરીશું. તે અનુસાર આ પહેલાં આપણે ૨૦૨૧માં ૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષોના પ્રથમ સમયખંડને આવરી ચૂક્યાં છીએ.
હાલમાં આપણે ૧૯૪૯થી ૧૯૫૩ના બીજા પંચવર્ષીય સમયખંડનાં મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથે પહેલવહેલી વાર ગવાયેલાં યુગલ ગીતોને યાદ કરી રહ્યાં છીએ અત્યાર સુધી
જુલાઈ ૨૦૨૨માં ૧૯૪૯નાં ગીતોનો પહેલો ભાગ, અને
ડિસેમ્બર ૨૦૨૨માં ૧૯૪૯નાં ગીતોનૉ બીજો ભાગ
સાંભળ્યો છે. ૧૯૪૯નાં વર્ષમાં કુલ ૪૯ યુગલ ગીતો મોહમમ્દ રફીના ફાળે આવ્યાં હતાં.
હવે ૧૯૫૦નાં વર્ષમાં આ સંખ્યા ૬૭ સુધી પહોંચી છે. તે પૈકી જે છ સંગીતકારો સાથે મોહમ્મદ રફીએ હિંદી ફિલ્મોમાં પહેલવહેલી વાર યુગલ ગીત ગાયું હોય એવાં યુગલ / ત્રિપુટી (+) ગીતો આજે યાદ કરીશું.
મોહબ્બત કે મારોં કા હાલ દુનિયામેં હોતા હૈ, જમાના ઉનપે હસતા હૈ, નસીબા ઉનપે રોતા હૈ – – બાવરે નૈન (૧૯૫૦) – આશા ભોસલે સાથે – ગીતકાર: કેદાર શર્મા – સંગીત: – રોશન
શેરીમાં ભીખ માગતાં ગવાતાં ગીતોનો પોતાનો એક આગવો પ્રકાર હતો. આ ગીતોમાં જો જીવનની ફિલસૂફી ન હોય તો હીરો કે હીરોઈનોના મનના ભાવોનો પડઘો પડતો હોય.
અહીં આખાં ગીતમાં ગીતા બાલી પોતાના પ્રેમીનો ફોટો પકડીને પોતાનું દૂ:ખ વ્યકત કરવા મથે છે ત્યારે ગીતમાં શેરીમાંના ગાયકો એ વ્યથાને હળવી કરવાનો પ્રયાસ કરતાં બોલ ગાય છે.
બેકસૂર (૧૯૫૦)માં અનિલ બિશ્વાસ મૂળ સંગીતકાર ગણી શકાય, પણ હંસરાજ બહલે પણ ત્રણ ગીતોની સ્વર બાંધણી કરી છે, જે પૈકી અખીયાં ગુલાબી જૈસે મદ કી હૈ પ્યાલીયાં અને હંસ કે તીર ચલાના દિલ ખુદ હી બનેગા નિશાના મોહમ્મદ રફી અને લતા મંગેશકરનાં યુગલ ગીતો છે. હંસરાજ બહલ મોહમ્મ્દ રફી માટે સૌ પ્રથમ વાર, ‘ચુનરિયા‘ અને ‘સત્યનારાયન‘ એમ બે ફિલ્મોમાં, યુગલ ગીત ૧૯૪૮માં રચી ચુક્યા છે એટલે અહીં આપણે આ બે ગીતોની વિગતે ચર્ચા ન કરતાં માત્ર નોંધ લઈને સંતોષ લઈશું
ખબર કીસીકો નહીં વો કિધર કો દેખતે હૈં – બેકસૂર (૧૯૫૦) – જી એમ દૂર્રાની અને મુકેશ સાથે – ગીતકાર: આરઝૂ લખનવી – સંગીત: અનિલ બિશ્વાસ
દેખીતી રીતે ગીત એક કવ્વાલી છે. પણ જૂની હિંદી ફિલ્મોમાં આવાં ‘આઈટેમ ગીતો’ ઘુસાડયાં હોય પણ તેને વાર્તા જોડે ગોઠવી પણ લેવાય. જેમકે અહીં ગાયકો જે કમી ગાય છે તેનો સીધો સંદર્ભ નીચે જીપમાં ઉભેલ પોલીસ પાર્ટી કંઇ શોધી રહી છે તેની માહિતી આપવાનો છે., જેનો લાભ લઈને માત્ર ગોગલ્સ અને ટોપી ચડાવી ને એક તલ મોં પર લગાડીને છદ્મવેશા ચડાવેલો અજીત પણ કવ્વાલીમાં જોડાઈ જઈને પોલીસને ગેરમાર્ગે દોરવામાં સફળ પણ થાય છે !
ચાંદની ચીટકી હુઈ હૈ, મુસ્કારાતી રાત હૈ – હમારા ઘર (૧૯૫૦) – ગીતા દત્ત સાથે – ગીતકાર: અંજુમ જયપુરી – સંગીત: ચિત્રગુપ્ત
ચિત્રગુપ્તની શૈલીમાં હજુ વિંટેજ એરાની છાંટ વર્તાય છે. ગીતા દત્ત અને મોહમંદ રફી પોતાના સ્વરમાં ગીતાના ભાવને અનુરૂપ મુગ્ધતા લાવીને પરિસ્થિતી સંભાળી લે છે.
ચુપકે ચુપકે દિલમેં આનેવાલે હો દેખો પ્રીત નિભાના – હમારા ઘર (૧૯૫૦) – ગીતા દત્ત સાથે – ગીતકાર: રામમૂર્તિ ચતુર્વેદી – સંગીત: ચિત્રગુપ્ત
ગીતની લય ઝડપ પકડે છે, પણ પરદા પર આ ગીત કેમ ભજવાયું હશે તેનો અંદાજ નથી લગાવી શકાતો
ચોરી ચોરી દેખ મત બલમ ભોલી દુલ્હન શરમાયેગી, દુલ્હન કો નજ઼ર લગ જાયેગી તો દુલ્હન મર જાયેગી – હમારા ઘર (૧૯૫૦) – શમશાદ બેગમ સાથે – ગીતકાર: ભરત વ્યાસ – સંગીત: ચિત્રગુપ્ત
શમશાદ બેગમ અને મોહમ્મદ રફી મીઠી છેડછાડને તાદૃશ કરે છે.
રંગ ભરી હોલી આયી …. – – હમારા ઘર (૧૯૫૦) – શમશાદ બેગમ સાથે – ગીતકાર: ભરત વ્યાસ – સંગીત: ચિત્રગુપ્ત
હોળીના તહેવારની રંગભરી ઉજવણીની મસ્તી છવાઈ રહી છે.
ઓ તેરી તીરછી નજ઼ર તેરી પતલી કમર લહરાકે બલ ખાકે હમ પે જાદુ કર ગયી – હમારા ઘર (૧૯૫૦) – શમશાદ બેગમ સાથે – ગીતકાર: ભરત વ્યાસ – સંગીત: ચિત્રગુપ્ત
સ્ટેજ નૃત્ય જેવી રચના જણાય છે એટલે શમશાદ બેગમ અને મોહમ્મદ રફી તેમની ગાયકીમાં એ ગીતોમાં હોય તેવી શરારતી લાવી દે છે.
જીત હો હમારી જીત હો યે ગીત મિલકે ગાયેંગે હીત હો હમારી જીત હો – વીર બબ્રુવાહન (૧૯૫૦) – ગીતા દત્ત સાથે – ગીતકાર: અંજુમ જયપુરી – સંગીત: ચિત્રગુપ્ત
યુદ્ધ માટે જઈ રહી સેનાને પોરો ચડાવતાં ગીત તરીકે ગીત કદાચ ઉણું પડતું જણાય !
દુર દેશકા રાજા એક દિન પરદેશ આયા – વીર બબ્રુવાહન (૧૯૫૦) – ગીતા દત્ત અને અમીરબાઈ કર્ણટકી સાથે સાથે – ગીતકાર: અંજુમ જયપુરી – સંગીત: ચિત્રગુપ્ત
ગીતા દત્ત, અમીરબાઈ કર્ણાટકી અને મોહમ્મદ રફી એક સાથે એવાં ગીત ભાગ્યે જ મળે એ દૃષ્ટિએ ગીત અનોખું બની રહે છે.
સબ સપને પુરે આજ હુએ ચમકે આશા કે તારે – વીર બબ્રુવાહન (૧૯૫૦) – ગીતા દત્ત સાથે – ગીતકાર: અંજુમ જયપુરી – સંગીત: ચિત્રગુપ્ત
પર્દા પર જે રીતે ગીત ફિલ્માવાયું છે તેના પરથી તો ખ્યાલ ન આવે કે સૌ સારાં વાનાં થયાં હશે એવી સીચ્યુએશન હશે પણ બોલ એમ કહે છે એટલે એમ માની લઈએ
ટૂટ ગયા હાય ટૂટ ગયા … વો સાજ઼ – એ – મુહબ્બત ટૂટ ગયા – મગરૂર (૧૯૫૦) – શમશાદ બેગમ, રાજકુમારી સાથે – ગીતકાર: મુલ્લાંજી – સંગીત: સજ્જાદ હુસ્સૈન
ફિલ્મમાં રામ પંજવાની અને બુલો સી રાની એમ બીજા બે સંગીતકારો પણ હતા.
સજ્જાદ હુસ્સૈને પ્રસ્તુત ત્રિપુટી ગીતમાં મોહમ્મદ રફી, શમશાદ બેગમ ને રાજકુમારીનું વિરલ કહેવાય એવું સંયોજન કરેલ છે.
રહેમાન મુખ્ય ભૂમિકામાં હોય અને સાથે મીના કુમારી અને નિગાર સુલ્તાના પ્રણય ત્રિકોણમાં હોય એ પણ એક વિરલ સંયોજન છે.
અલ્લા રખાના નામે મોહમમ્દ રફી સાથેનું પહેલું યુગલ ગીત – ટોપીવાલે બાબુને દિલ છીના રે…. હાય રે મોરા મન છીના – કૂલ કલંક (૧૯૪૫)– અમીરબાઈ કર્ણાટકી સાથે – ગીતકાર: રૂપબાની – પહેલાં આપણે યદ કરી ચુક્યાં છીએ. હવે તેઓ તેમનાં નામના એ આર કુરૈશીના નામે ‘સબક’નાં સંગીતકાર તરીકે આપણી સમક્ષ છે. જોકે આ ગીતો અહીં લઈ લેવામાં ઉળ લાલ્ચ તો મોહમ્મદ રફીની સાથે યુગલ ગીતોમાં સુરીંદર કૌર છે એ મુખ્ય લાલચ છે.
જ઼ાંક જરોકે સે તુ મહલોં વાલે …. તુઝે સુનાઊં દિલ કી બાત – સબક (૧૯૫૦) – સુરીંદર કૌર સાથે – ગીતકાર: ડી એન મધોક – સંગીત: એ આર કુરૈશી
મહેલોની દિવાલોથી અલગ પડી જતાં પ્રેમીઓની દિલની વ્યથા બન્ને ગાયકો જીવંત કરે છે.
કેહ દો હમેં ના બેક઼રાર કરે વો જિસે મેરા દિલ પ્યાર કરે – સબક (૧૯૫૦) – સુરીંદર કૌર સાથે – ગીતકાર: ડી એન મધોક – સંગીત: એ આર કુરૈશી
ગીત સાંભળતાં જ ખ્યાલ આવી જાય કે ગીતમાં મીઠી તકરાર દ્વારા પ્રેમની ઉત્કટતા વ્યક્ત કરવામાં આવી રહી છે
તુ આસમાં પે ખડા મુસ્કુરાયે ….. કે જૈસે કબી લબ પે ન નીકલી હો હાયે – સબક (૧૯૫૦) – સુરીંદર કૌર સાથે – ગીતકાર: ડી એન મધોક – સંગીત: એ આર કુરૈશી
પ્રેમીઓના હૃદયોમાંથી ઉઠતી વિરહ વેદનાની ઉપરવાળો મજાક કરે છે એવી ફરિયાદનાં માધ્યમથી પ્રેમીઓ પોતાના પ્રેમની અભિવ્યક્તિ ફરી એક વાર કરી લે છે
‘અલખ નિરંજન’ (સંગીતકાર્ પ્રેમનાથ)નું રાજ કુમારી અને સતીશ બત્રા સાથેનું ત્રિપુટી ગીત, યે દુનિયા ગોરખ ધંધા હૈ ભાગ યહાં સે યુ ટ્યુબ પર નથી મળી શક્યું.
મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીના બીજા પંચવર્ષીય સમયાખંડની આપણી સફર હવે ડિસેમ્બર ૨૦૨૩ના મણકામાં આગળ વધશે.
