-
ફિલસુફીભર્યા ગીતો – ૧૨ – मर के भी किसी को याद आयेगे, किसी के आंसुओ में मुस्कुरायेंगे
નિરંજન મહેતા
ટહેલતા ટહેલતા જીવનની ફિલસુફી સમજાવતું ગીત છે ૧૯૫૯ની ફિલ્મ ‘અનાડી’નું.
किसी की मुस्कुराहटो पे हो निसार
किसी का दर्द मिल सके तो ले उधार
किसी के वास्ते हो तेरे दिल में प्यार
जीना इसी का नाम हैमाना अपनी जेब से फ़क़ीर है
इर भी यारो दिल के हम अमीर है
मिटे जो प्यार के लिए वो जिन्दगी
जले बहार के लिए वो जिन्दगी
किसी को हो न हो हमें तो है ऐतबार
जीना इसी का नाम हैरिश्ता दिल से दिल के ऐतबार का
जिंदा है हमी से नाम प्यार का
के मर के भी किसी को याद आयेगे
किसी के आंसुओ में मुस्कुरायेंगे
कहेगा फुल हर कली से बार बार
जीना इसी का नाम हैરાજકપૂર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર. શંકર જયકિસનનુ સંગીત છે જેને સ્વર આપ્યો છે મુકેશે.
જીંદગી એ સ્વ માટે નહિ પણ અન્ય માટે છે તે આ ગીતની મુખ્ય ફિલસુફી છે. તમારા સારા કામને કારણે કોઈ તમને સ્મિત આપી ઉપકાર પ્રદર્શિત કરે તો તેની ઉપર જાન ન્યોછાવર કરવો તેનું નામ જિંદગી. તે જ પ્રમાણે અન્યોના દર્દને પોતાનું સમજી અપનાવવું એ પણ જિંદગી નહિ તો બીજું શું?
આગળ ઉપર કહેવાયું છે કે ભલે તમે ધનવાન ન હો પણ તમેં દિલથી તો અમીર જ છો. એટલે અન્ય પ્રત્યે તમે હમદર્દી દાખવી દિલનો ખજાનો લુંટાવો ત્યાંરે તમારૂ જીવવું સાર્થક છે.
અન્યનો પ્રેમ મેળવવો અને બીજા પ્રત્યે મરી ફીટવું તે જ જિંદગીનો મર્મ છે. ભલે અન્યો તમારા પર વિશ્વાસ ન મુકે પણ તમેં અન્યો પર વિશ્વાસ મુકો છે તેથી તમે જિંદગી જીવો છો તે જ સત્ય છે કારણ એકબીજા સાથે વિશ્વાસનો સંબંધ છે. અન્યોનો પ્રેમ તમને તમારૂ જીવન જીવવાલાયક બનાવી દે છે. માટે અન્યો પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ બનાવી રાખો અને સાચવી રાખો જેથી તમારી હયાતિ ન હોય ત્યારે પણ લોકો તમને યાદ કરે. આમ તમારી યાદમાં કોઈના આંસુ વહેશે તો જિંદગી જીવ્યું સાર્થક થઇ રહેશે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૬. હસરત જયપુરી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
જેમ શકીલ – નૌશાદ એકમેકના અભિન્ન અંગ એવું જ ગીતકાર બેલડી શૈલેન્દ્ર – હસરતનું. હસરત જયપુરીની મોટા ભાગની ફિલ્મો શંકર – જયકિશનના સંગીત નિર્દેશન હેઠળ હતી. ગીતકાર તરીકે એમનું ક્ષેત્ર અને વિષયો મર્યાદિત હતા. એમના મોટા ભાગના ગીતો – ગઝલો હુસ્ન-ઓ-ઈશ્ક, આશિક-માશુક, નકાબ-પરદા-ચિલમન-શબાબ અને ગુલબદન – ગુલનારથી આગળ ન ગયા. એ વાત જૂદી છે કે ફિલ્મો વેચવા માટે આ પ્રકારના ગીતોની જરૂર અને માંગ હતી. એ વાત પણ કબૂલ કે લોકપ્રિયતાની બાબતમાં એમના ગીતો સ્હેજેય ઉતરતા નહોતા, પછી ભલે એ ગીતોની લોકપ્રિયતાનો યશ એ ગીતોની ધુનોને આપીએ ! ખાલિસ ઉર્દૂના કેટલાય શબ્દો એમના ગીતોને કારણે લોકજીભે ચડ્યા ( ચશ્મે બદ્દૂર, ગુસ્તાખી માફ ) એમના અપવાદરુપ કેટલાક ગીતો એવા પણ ખરા જેના અલફાઝ આપણને ચકરાવામાં નાંખી દે કે એ શૈલેન્દ્રના જ શબ્દો હોય, પણ નીકળે હસરત ! જેમ કે ‘ દુનિયા બનાને વાલે ક્યા તેરે મન મેં સમાઈ ( તીસરી કસમ – ૧૯૬૭ ), ‘ હમેં ભી દે દો સહારા કે બેસહારે હૈં ( સીમા – ૧૯૫૫ ) અને ‘ જાઉં કહાં બતા ઐ દિલ ‘ ( છોટી બહન – ૧૯૫૯ ). જોકે એવા ગીતો બહુ જૂજ.
એમણે ખાસ્સી સંખ્યામાં ગઝલો લખી. શૈલેન્દ્ર કરતાં ક્યાંય વધારે. એમની એક ઓછી જાણીતી ગઝલ :
તડપ તડપ કે કટી ઉમ્ર આશિયાને મેં
મિલા ન ચૈન હમેં તો કભી ઝમાને મેંબહાર આઈ ખિલે ફૂલ હમ તો યે સમઝે
કિસી ને આગ લગા દી હૈ આશિયાને મેંકિસી સે કુછ ન કહા અપને દિલ સે બાતેં કી
હમ આપ જલ ગએ દિલ કા દિયા જલાને મેંહમારે સબ્ર કા ભગવાન ઈમ્તેહાન ન લે
કહીં યે દમ ન નિકલ જાએ આઝમાને મેં..ફિલ્મ : દો ફૂલ – ૧૯૫૮
– લતા
– વસંત દેસાઈ
આ બીજી ગઝલ શોખીનોને સુવિદિત છે :
આએ બહાર બન કે લુભા કર ચલે ગએ
ક્યા રાઝ થા જો દિલ મેં છુપા કર ચલે ગએકહને કો વો હસીન થે આંખેં થી બેવફા
દામન મેરી નઝર સે બચા કર ચલે ગએઈતના મુઝે બતાઓ મેરે દિલ કી ધડકનોં
વો કૌન થે જો ખ્વાબ દિખા કર ચલે ગએ..– ફિલ્મ : રાજહઠ – ૧૯૫૬
– રફી
– શંકર જયકિશન
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
વિરોધાભાસોમાંના સર્વસામાન્ય વિષયવસ્તુઓ : અન્યોન્યાશ્રયી પરિભાષાઓ
જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
સ્વ- સંદર્ભ (self-reference), અસીમ પીછેહઠ (infinite regress), અન્યોન્યાશ્રયી (ગોળગોળ) પરિભાષાઓ (circular definitions) અને અમૂર્ત વિચારણાનાં (abstraction) અલગ અલગ સ્તરો વચેની ગૂંચ કે સંદિગ્ધતા એ બધાં વિરોધાભાસોનાં સર્વસામાન્ય વિષયવસ્તુઓ છે.
જીવન એક એવું પૂર્ણ વર્તુળ છે જે વિકસતું વિકસતું અનંતની ગતિમય હિલચાલો સાથે જઈ મળે છે.
વર્તુળો સાથેના વિરોધાભાસોના સંદર્ભ આપણને અન્યોન્યાશ્રયી પરિભાષાઓ અને અન્યોન્યાશ્રયી તર્કબદ્ધ વિચારશક્તિ ભણી દોરી જાય છે.
અન્યોન્યાશ્રયી પરિભાષા એવી વ્યાખ્યા છે જે જે પરિભાષાનાં વર્ણન કરવામાં આવી રહ્યું છે તેમાં એ જ શબ્દોનો પ્રયોગ કરે છે, કે પછી એમ માની લે છે કે જે શબ્દપ્રયોગો પ્રયોજિત થઈ રહ્યા છે તે જાણીતા જ છે. અન્યોન્યાશ્રયી પરિભાષા વિવિધ પ્રકારની હોય છે, જેને મુખ્યત્વે વ્યવહારિક, શબ્દકોશીય કે ભાષાશાસ્ત્રીય એવાં વર્ગીકરણમાં વહેંચવામાં આવે છે. [1]

આ પરિભાષાને The Jenndra Identitty Comics માં જોવા મળતાં નીચેનાં કટાક્ષચિત્રો વડે સમજવી સરળ પડશે :

અન્યોન્યાશ્રયી તર્કબદ્ધ વિચારશક્તિ
Read More: Logical Fallacies માં કેટલીક સર્વસામાન્ય પ્રચલિત તર્કબદ્ધ તર્કદોશોની વિગતે ચર્ચા દ્વારા તર્કબદ્ધ વિચારશક્તિ અને નિર્ણાયક સમજશક્તિને ઊંડાણમાં સમજાવતા લેખોનો સંગ્રહ છે.
અપેક્ષા મુજબના જવાબ મળે એવા સવાલ પૂછવા / begging the question સાથે પણ તેને ગાઢ સંબંધ છે. [2]

વધારાનું વાંચન : Circular Reasoning — Cognitive Science (PDF)
પોતાની જ વ્યાખ્યામાં વાપરવા પડે એવા શબ્દો સભાનપણે ન વાપરીએ તો પણ એવી કેટલીય પરિભાષાઓ છે જેમાં એકબીજા પર આધાર રાખતા જ હોય એવા શબ્દો ટપકી જ પડે એવું બહુ બને છે. જેમકે, તેમનાં સ્વાભાવિક અસ્તિત્વના ક્રમમાં આ પરિભાષા જુઓ:
બરફ. (નામ). પાણીનું ઘન સ્વરૂપ.
વરાળ. (નામ). બરફનું વાયુ સ્વરૂપ.
પાણી. (નામ). વરાળનું પ્રવાહી સ્વરૂપ.
આમાંની એક પણ પરિભાષા આમ ભલે અન્યોન્યાશ્રયી ન ગણાય, પણ ત્રણેયને એક સાથે જોઇએ તો ગોળ ગોળ ફરીને વર્તુળ જ પુરૂં થાય છે. તેમ છતાં મુળ શબ્દોનો અર્થ તો જ ચોખ્ખો થાય જો વાંચનારને પરિભાષામાં વપારાયેલ સ્વરૂપની સમજણ હોય ! નહીં તો આ ત્રણ પદાર્થો કોઈ અન્ય પદાર્થની ઘન, કે વાયુ કે પ્રવાહી અવસ્થા છે તેનાથી વધારે તેને કંઈ ન સમજાયું હોય. [3]

“શબ્દકોશને અનુસરતા આલેખનો એક ભાગ – ‘બરફ’, ‘વરાળ’ અને ‘પાણી’ મળીને જે વર્તુળ પુરૂં થાય છે તે ખાસ જોશો.
ઘણી વ્યાખ્યાઓ અન્યોન્યાશ્રયી હોય છે પણ તેમ છતાં તેમાં એ પારિભાષિક શબ્દ સમજવા માટે પુરતી માહિતી હોઈ શકે છે. જેમકે
નિમ્બસ (વરસાદી ) વાદળ : વરાળમાંથી ટીપાં પેદા કરતું વાદળું.
અથવા
નીતિશાસ્ત્ર: વ્યક્તિનાં વાણી વિચાર વર્તન વર્તણૂક કે ચાલચલગત પર નિર્ધારક પ્રભાવ પાડતા નૈતિક સિદ્ધાંતો .
નૈતિક સિદ્ધાંતો : નૈતિકતાનાં ધોરણે, વ્યક્તિ કે સમુદાય, દ્વારા સ્વીકાર્ય એવા સિદ્ધાંતો .
સાચુ અને ખોટું ઠરાવતા સિદ્ધાંતો : વ્યક્તિનાં નીતિમય વાણી, વિચાર અને વર્તનનાં પાયા સ્વરૂપ નૈતિક સિદ્ધાતો.
કોઈ પણ જાતની આડીઅવળી સમજ ન પેદા થાય એવું લખનારે :
૧. અમાપ સંખ્યામાં શબ્દો પર પોતાનું પ્રભાવ એવી ભાષાનું શબ્દભંડોળ શીખવું અને કેળવવું જોઈએ જેથી પરિભાષાઓ માટે તે જે શબ્દોનો પ્રયોગ કરે પછીથી વ્યાખ્યાયિત થનારા શબ્દોનો પ્રયોગ ટાળી શકાય.
બહુ દેખીતાં (ભૌતિક) કારણોસર, વ્યવહારમાં આમ કરી શકવું બહુ લાબું ખેંચી ન શકાય, જો એવી કોઈ ભૌતિક મર્યાદાઓ કદાચ ન પણ હોય તો પણ આવી વ્યવસ્થાથી સહેલાઈ સમજી શકાય એવી કેટલી ગોઠવણ થઈ શકે તે સ્પષ્ટ નથી. .
૨. મર્યાદિત ભાષાભંડોળ હોવા છતાં જે શબ્દો વાપરવા પડે તેમની વ્યાખ્યાઓ કરવી ન પડે એવી ભાષા શૈલી વિકસાવવી જરૂરી છે.
વધારાનું વાંચન : Logically Fallacious: આ પુસ્તકનું ધ્યાન તર્કબદ્ધ વિચાર કરવામાં થતી ભુલો જેને કહી શકાય એવા તર્કબદ્ધ તર્કદોષો ને સમજાવવા પર છે. એકે એક પાનાંનું વાંચન કોઈની પણ તર્કબદ્ધ વિચારણા અને નિર્ણય પ્રક્રિયાઓમાં બહુ મોટા પાયે સુધારા લાવી શકે છે.
પર્યાવરણની સંપોષિત જાળવણી સાથે સંકળાયેલ વ્યાવસાયિકો માટે ખાસ, અને આજના લગભગ બધાં મૅનેજમેન્ટ ક્ષેત્રના વ્યાવસાયિકો માટે, અન્યોન્યાશ્રયી અર્થવ્યવસ્થા/ Circular Economy , ભલે આજના વિષયથી સાવ અલગ પણ, એક મહત્વનો વિષય છે.

કેટલાક વધારાના સંદર્ભો –
- Circular Economy Explained: What Is It & Why Is It Important?
- Explaining the Circular Economy and How Society Can Re-think Progress.
- How to design the circular economy – A TED talk
- The Story of Plastic
વધારાનું વાંચન :
Harnessing the Fourth Industrial Revolution for the Circular Economy – A white paper published in 2018 by the World Economic Forum
-
સુધારણા અને પરિવર્તનનાં પરિણામો પર મનની શ્રદ્ધાની પડતી અસરોની ભૂમિકા
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
આ વર્ષે આમ તો કરવું જ છે કે પેલું તો નક્કી જ કરવું છે એવા દર નવા વર્ષે કરાતા આપણા કૃતનિશ્ચયોનાં ભવિષ્ય મોટા ભાગે બાળ મરણ જ હોય છે. વ્યક્તિની જેમ જ ઘણી સંસ્થાઓમાં પણ ‘સુધારણા પગલાંઓ’ની આકર્ષક યાદીઓ બને છે જેમાંથી બહુ થોડી અમલ સુધી પહોંચે છે, અને જે કોઇ અમલ થાય પણ તે લાંબા ગાળા સુધી ટકતી ન હોય તેવું વધારે જોવા મળે છે.
આમ થવાનું એક મુખ્ય કારણ એ છે કે ગમે એટલું સરળ દેખાતું પરિવર્તન પણ વ્યવહારમાં એટલું સરળ જ હોય એવું ભાગ્યેજ બનતું હોય છે. તેમાં આપણને જે ગોઠી ગયું છે તેમાં જરા સરખાં પણ પરિવર્તનની સામેનો માનવ સહજ વિરોધ ભળે, એટલે મામલો વધારે બીચકતો હોય છે. તે ઉપરાંત, પરિવર્તનની સફરની શરૂઆત કરતી વખતે પરિણામો સ્વરૂપે વચ્ચે આવનારાં સીમાચિહ્નોથી માંડીને અંતિમ લક્ષ્ય વિશે એકદમ સ્પષ્ટ ચિત્ર આપણી સમક્ષ ન હોય તેવું પણ બહુ વાર જોવા મળે છે.
મોટા ભાગના જિમના એક તાલીમ શિક્ષક એક વાત અચુકપણે તેમના તાલીમાર્થોને સમજાવતા હોય છે. કસરત કરતી વખતે જે લોકો થનાર સંભવિત દુખાવાના જ વિચારો કરતા હોય છે એ લોકો કસરત કરવાનું જલ્દી છોડી દેતા જોવા મળે છે. એ રીતે જે લોકો બીજા જ દિવસથી કસરતના ફાયદાઓ જોવાની અપેક્ષા સાથે જોડાય છે એ લોકો નિરાશ પણ જલ્દી થાય છે એટલે લાંબું ટકતા નથી હોતા.
કોઈ પણ પરિવર્તન સમય તો અવશ્ય પણ માગી લે છે એ વાત તેમણે બહુ સરળતાથી કહી દીધી છે.
પરિવર્તનના સંકલ્પ માટેની નિષ્ઠાની તાકાતની સાથે સાથે પછીથી થનારા સુધારાથી જે કંઈ, જેટલું પણ, થશે એ વિશે સારૂં જ થશે એવી અટલ શ્રદ્ધા અને પરિવર્તનના અમલ દરમ્યાન અને પછીથી તેની અસરોનેએ ટકાવી રાખવા માટે જે જહેમત લેવી પડે તેમાં કોઈ પણ તબક્કે જરા પણ કચાશ ન આવી જાય તે માટેની માનસિક અને શારીરિક તૈયારી અને પ્રતિબદ્ધતા પણ એટલાં મહત્વનાં બની રહેતાં હોય છે.
પણ, સામાન્યપણે થતું હોય છે કે જ્યારે માથે પડતું આવે ત્યારે જ આપણે પરિવર્તન કરવા તૈયાર થતાં હોઈએ છીએ. તેમાં પણ જો જોખમ આપણાં અસ્તિત્વને ટકાવવા જેવું ગંભીર ન હોય કે આપણને બહુ મોટો લાભ થતો ન દેખાય, તો પરિવર્તન કરવામાં આપણે પહેલેથી ઢીલાંઢાલાં પડવા લાગતાં હોઇએ છીએ. પરિવર્તનને અસરકારક અને લાંબે ગાળે ટકાઉ બનાવવા માટે એ પરિવર્તન આંતરસ્ફુરિત હોય એ બહુ આદર્શ પરિસ્થિતિ છે. મનથી નક્કી કરેલ અને સ્વીકારેલ પરિવર્તનોની સફરની અડચણો સહન કરી લેવા આપણે માનસિક રીતે વધારે સજ્જ થઈ શકીએ છીએ અને તેથી શારીરિક પ્રયત્નોનો નથી થાક લાગતો કે નથી કંટાળો આવતો.
સો વાતની એક વાત :
સંસ્થાની કે વ્યક્તિગત કક્ષાએ આપણે શરૂ કરેલ પરિવર્તન કેટલા સુધારામાં પરિણમશે તેનો સીધો સંબંધ પરિવર્તનના લાભાલાભો વિશેની સ્પષ્ટ સમજણ અને તેમાં આપણી શ્રધ્ધા સાથે છે.
– – – – –
પાદ નોંધ
“હિંમત એટલે ભય ન હોવો એટલું નહી પણ ભય કરતાં પણ બીજું પણ કંઈક વધારે મહત્ત્વનું છે તેવી સમજ” – ટ્વિટર પર વાંચેલું
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
પરમેશ્વરનું પ્લાનિંગ
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
ક્યારેક આપણા જીવનમાં એવું બની જાય જેની આપણે કલ્પના સુદ્ધા ના કરી હોય. ઘણીવાર આપણે એવું સાંભળ્યુ હશે કે અનિવાર્ય સંજોગોના લીધે કોઇ વ્યક્તિને પોતાની કન્ફર્મ ફ્લાઇટ અથવા ટ્રેન ગુમાવવી પડી હોય. સમય સાચવી લેવો અગત્યનો હોય ત્યારે આવી ઘટનાથી કોઇપણ વ્યક્તિ ચોક્કસપણે નિરાશ થઇ જાય. કદાચ શક્ય છે કે અકળાઈ પણ જાય. પરંતુ જ્યારે ખબર પડે કે એ ગુમાવેલી ફ્લાઇટ કે ટ્રેનને અકસ્માત નડ્યો છે ત્યારે ? જીવતદાન મળવાની સામે ગુમાવેલી તક સાવ જ નગણ્ય, સાવ તુચ્છ લાગવા માંડે.
આવી જ એક વાત…..એક સમયે એક ચિત્રકારે અત્યંત સુંદર અને જીવંત ચિત્રનું સર્જન કર્યું. ચિત્રમાં પુરેલા રંગોથી એ એટલું તો આબેહૂબ લાગતું હતું કે જાણે એમાં રચેલી સૃષ્ટિ હમણાં જ સજીવ થઈ ઉઠશે. પોતાના અત્યંત ખુબસુરત સર્જનને જોઇને ખુદ ચિત્રકાર પણ અભિભૂત થઇ ઉઠ્યો. ઊંચી ઇમારત પર ગોઠવાયેલા આ ચિત્રની ખૂબી માણવામાં એ ચિત્રકાર એટલો તો વ્યસ્ત અને મસ્ત થઈ ગયો કે એની આસાપાસ શું છે કે એ ક્યાં છે એની સુધ પણ ના રહી. પહેલા પાસે ઊભા રહીને એ ચિત્ર જોયું. ત્યારબાદ એ ચિત્રનું અવલોકન કરવા એ જરા આઘો જઈને ઊભો રહ્યો. હજુ થોડે દૂર રહીને એ ચિત્ર જોવાની લાલસા ન રોકાઇ અને એ પાછા પગલે ખસ્યો. ચિત્ર જોવામાં તલ્લીને એવા ચિત્રકાર જ્યાં ઊભેલો હતો એ ઊંચાઇનો ખ્યાલ એના મનમાંથી સાવ નિકળી ગયો. હવે જો એક ડગલું પણ પાછો ખસે તો એ ઊંચી ઇમારત પરથી સીધો નીચે જ પટકાય.
આ જોઇને ચિત્રકારની સાથે હાજર એક માણસ સતેજ બની ગયો. હવે જો એ બૂમ મારીને એ ચિત્રકારને ચેતવે તો શક્ય હતું કે એની બૂમથી ગભરાઇને પણ એ પાછળ ખસે તો જાનથી જાય. હવે? તત્ક્ષણ એ માણસે ચિત્ર પાસે પડેલા રંગમાં પીછી બોળીને એના પર ધબ્બા પાડી દીધા.
આ જોઇને ક્રોધે ભરાયેલો ચિત્રકાર એને મારવા દોડી આવ્યો પણ ત્યાં ઊભેલા અન્ય લોકોએ એને રોકી લીધો. પોતાના શ્રેષ્ઠ સર્જનને આમ રોળી નાખનાર પર અત્યંત ક્રોધે ભરાયેલા ચિત્રકારને વાસ્તવિકતાનું ભાન કરાવતા લોકોએ બતાવ્યું કે એ જે જગ્યાએ ઊભો હતો ત્યાંથી એક ડગલું પણ પાછળ ખસે તો શું અનર્થ થાત.
આપણી સાથે પણ આવું જ બનતું હોય છે. મનથી નિશ્ચિત કરેલા પ્લાન કોઇ અગમ્ય કારણોસર રોળાઇ જાય ત્યારે આપણે સૌ નાસીપાસ થઈ જઈએ છીએ ને? એ ક્ષણે તો આપણને આપણી જાત પર , સંજોગો પર કે લાગે વળગતા સૌ કોઇ પર અપાર ક્રોધ આવે. કશું જ ન કરી શકવાની લાચારીથી હતાશા પણ ઊપજે.
જરૂર છે સ્વસ્થ મનથી વિચારવાની. થોડી ધીરજ રાખીશું તો ચોક્કસ સમજાશે કે ઇશ્વરે આપણા માટે કશુંક વધારે યોગ્ય નિશ્ચિત કર્યું હતું, વધુ શ્રેષ્ઠ ભાવિનું નિર્માણ કર્યું હતું. આપણે જે કંઇ ઇચ્છતા હોઇએ એનાથી વિપરીત પરિસ્થિતિ ઊભી થાય તો એનો અર્થ એ કે ભાવિના ગર્ભમાં કશુંક વધુ સારું બીજુ આપણા માટે ઈશ્વરે રોપ્યું છે. પરમેશ્વરથી વધીને વધુ સારો પ્લાનર કોઇ નથી.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
અન્નનો વેડફાટ એટલે બ્રહ્મનું અપમાન
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
અન્ન એટલે કે અનાજ એટલે કે આહાર આપણા જીવન માટેની અનિવાર્ય જરૂરિયાત છે. તેનું જીવન માટેનું મહત્ત્વ જોતાં તેને વાજબી રીતે જ ‘અન્નદેવતા’ તરીકે ઓળખવામાં આવે છે. અન્નસંબંધી અનેક કહેવતો કે રૂઢિપ્રયોગો આપણે ત્યાં પ્રચલિત છે. જેમ કે, ‘અન્ન એવો ઓડકાર’, ‘અન્ન ત્યાં સુધી તન’, ‘અન્ન એવું મન’, ‘અન્ન જીવાડે અને અન્ન મારે’ સહિત બીજા અનેક.
આપણા આહાર અંગે વિવિધ શોધખોળ સતત થતી આવી છે. આપણી પરિવર્તનશીલ જીવનશૈલી અને તેને લઈને થતા રોગોનો ઈલાજ આવી શોધખોળો થકી થતો રહે છે. આમ થાય ત્યારે એમ માનીને ચાલવામાં આવે છે કે સૌ નાગરિકોને પેટ ભરવા પૂરતો આહાર મળી રહે છે. પણ થોડા સમય પહેલાં સમાચાર આવ્યા કે ૨૦૨૨માં પ્રકાશિત વૈશ્વિક ક્ષુધાંક (ગ્લોબલ હન્ગર ઈન્ડેક્સ)માં આપણો ભારત દેશ કુલ ૧૨૧ દેશોમાં ૧૦૭મા ક્રમે આવ્યો છે. આ અંકના માપન માટે ચાર મહત્ત્વનાં પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. કુપોષણ, કુપોષણને લઈને રુંધાતો વિકાસ, કુપોષણને કારણે દુર્બળતા અને બાળમૃત્યુદર. સો પૉઈન્ટના માપદંડના આધારે આ અંકની ગણતરી કરાય છે, જે ભૂખની તીવ્રતા દર્શાવે છે. એ મુજબ શૂન્ય ઉત્તમ સ્કોર ગણાય, જે સૂચવે છે કે કોઈ ભૂખ્યું નથી, અને સો સૌથી ખરાબ સ્કોર ગણાય.

સાદર્ભિક તસવીર – નેટ પરથી અલબત્ત, કેન્દ્ર સરકારે સંસદમાં જણાવેલું કે આ આંકડા ભારતનું સાચું ચિત્ર દર્શાવતા નથી. દેશમાં પ્રવર્તતી સ્થિતિને તે યોગ્ય રીતે સૂચવતા નથી કે નથી તેનું યોગ્ય પ્રતિનિધિત્વ કરતા. દેશના મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ અંક માપવાના ચાર પરિબળો પૈકી કેવળ કુપોષણનું એક જ પરિબળ ભૂખ સાથે સીધેસીધું સંબંધિત છે. કુપોષણને કારણે રુંધાતો વિકાસ અને દુર્બળતા માટે આનુવંશિકતા, પર્યાવરણ, સ્વચ્છતા જેવાં અન્ય પરિબળો જવાબદાર હોય છે. મહિલા અને બાળવિકાસ મંત્રાલયે એમ પણ કહ્યું કે ભારતની છબિને દાગ લગાવવાનો આ સાતત્યપૂર્વકનો અને દેખીતો પ્રયત્ન છે. ગેરમાહિતી આ વાર્ષિક ઈન્ડેક્સનો મુદ્રાલેખ હોય એમ જણાય છે.
આ અંક અનુસાર ભારતનું સ્થાન શ્રીલંકા (૬૪મું), નેપાળ (૮૧ મું), બાંગ્લાદેશ (૮૪મું) અને પાકિસ્તાન (૯૯મું) કરતાંય પાછળ છે. આ દેશોના વિસ્તાર અને વસતિની રીતે વિચારીએ તો તેમની સરખામણી ભારત સાથે કરવી અયોગ્ય ગણાય. આથી માનીએ કે આપણા દેશનો ક્રમ કદાચ યોગ્ય ન હોય, છતાં તેનાથી વાસ્તવિકતા ખાસ બદલાતી નથી. મૂળ મુદ્દો અપૂરતા ખોરાકનો અને કુપોષણનો છે. દેશ ગમે એટલો વિકાસ કરે, પોતાના નાગરિકને પેટ ભરવા પૂરતું ભોજન પૂરું ન પાડી શકે તો એનો શો અર્થ? એક તરફ આધુનિક સંશોધનોને લઈને અસાધ્ય મનાતા વિવિધ રોગોના ઉપચારની વાત ચાલી રહી હોય અને બીજી તરફ મહારોગ જેવો ભૂખમરો વ્યાપ્ત હોય એ કેવી વક્રતા! માની લઈએ કે કોઈક વિદેશી સંસ્થાએ કરેલો આ અભ્યાસ ચોકસાઈપૂર્વકનો ન હોય કે આપણા દેશને નીચો દેખાડવાનું કાવતરું હોય, પણ ભૂખમરાનું પ્રમાણ વ્યાપક હોવાની હકીકત શી રીતે નકારી શકાય?
ભૂખમરાની વાતને ઘડીક બાજુએ મૂકીએ તો આપણા દ્વારા થતા અન્નના બેફામ વેડફાટનું શું? આપણા લગ્નસમારંભોમાં ભોજનનો અક્ષમ્ય વેડફાટ કરવામાં આવે છે એ ઉઘાડી હકીકત છે. સામાન્યપણે પ્રચલિત સ્વરુચિ ભોજનની પદ્ધતિમાં લોકો ફરી વાર વાનગી લેવા જવું ન પડે એ માટે પોતાની ડિશને ભરચક કરી મૂકે છે- ચાહે જરૂર હોય કે ન હોય! આથી સ્વરુચિભોજનનો મૂળભૂત હેતુ જ મારો જાય છે અને ભોજનનો જથ્થાબંધ વેડફાટ થતો રહે છે. હવે તો યજમાન ભોજનનો સીધેસીધો કંત્રાટ આપી દે છે, આથી ભોજનના વેડફાટ બાબતે તેની કશી નૈતિક જવાબદારી પણ રહેતી નથી, જે પહેલાં પણ નહોતી.
આમ પણ ભોજનનો વેડફાટ અટકાવવો એ વ્યક્તિગત નૈતિક જવાબદારી છે એવું ભાગ્યે જ કોઈ સમજે છે. પ્રસંગે થતા વેડફાટ પછી વાત આવે વ્યક્તિગત સ્તરે કરવામાં આવતા બગાડની. આપણે ભોજન માટે બહાર રેસ્તોરાંમાં જઈએ ત્યારે એવી અનેક વાનગીઓ હોય છે, જેને આપણે ડિશમાં છાંડીએ છીએ. સમાજનો એક આખો વર્ગ એવો છે કે જે માને છે કે પીરસાયેલું ભાણું સાવ પૂરું ન કરાય. આથી તેઓ થાળીમાં ભોજન છાંડે છે. ભોજન એટલે કે અન્ન પણ નૈસર્ગિક સ્રોત છે, અને તેનો ઉપયોગ વિવેકપૂર્વક થવો ઘટે. કેવળ નાણાં કે પોષાણ હોવાથી અન્નના વેડફાટનો પરવાનો મળી નથી જતો.
આપણું મંત્રાલય કહે છે એમ ગ્લોબલ હન્ગર ઈન્ડેક્સ કદાચ એકતરફી હોય કે ભૂલભરેલો હોઈ શકે, પણ સંસ્કૃતિ બની રહેલી વેડફાટની આપણી આદતનું શું કરીશું? ભૌતિક રીતે આપણે પ્રગતિ કરતા જઈએ છીએ એમ કુપોષણ, ભૂખમરો કે અન્નથી વંચિત હોવાનો વિરોધાભાસ વધતો જતો હોય એમ લાગે છે. એના માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી, પણ આપણી આસપાસ અને પોતાની થાળીમાં નજર કરવાથી જ તેનાં પ્રત્યક્ષ દર્શન થઈ શકશે. નવધનિક બની રહેલો મધ્યમ વર્ગ કેવળ અન્નને નહીં, કોઈ પણ નૈસર્ગિક સ્રોતનો વેડફાટ કરવામાં પોતાનો મોભો સમજે છે. અન્ન બાબતે હવે નવેસરથી વિવેક કેળવવાની જરૂર જણાય છે.
એક તરફ સરકારી યોજનાના ‘અન્નબ્રહ્મ’ જેવા નામકરણ થકી અન્નને બ્રહ્મનો દરજ્જો અપાતો હોય અને બીજી તરફ માનવની મૂળભૂત જીવનજરૂરિયાત પણ પૂર્ણ થતી ન હોય તો એ સંસ્કૃતિગૌરવનો દાવો શા કામનો?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯ – ૦૬ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પગદંડીનો પંથી – ભાગ ૨ – ૧ ચાલો ડૉક્ટરને બતાવીએ…
તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

ડૉ.પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.આજના જમાનામાં સ્વાસ્થ્ય વિષેની માહિતીનો તોટો નથી. વર્તમાન પત્રો, ટીવી, પુસ્તકો, પત્રિકાઓ, અને હવે ઇન્ટરનેટ ઉપર માહિતીનો ખજાનો મળી રહે છે. આમાંની ઘણી માહિતી સાચી અને ઉપયોગી હોવા છતાં તકલીફવાળા દર્દીઓ, સગા-સંબંધી કે મિત્ર ન હોય તેવી વ્યક્તિની સલાહ માનીને કોઈ પણ ડૉક્ટર પાસે દોડી જાય છે. જે બીમાર છે તેને માટે કયા ડૉક્ટર કે કયા ડિગ્રીધારી ડૉક્ટરને બતાવવાની જરૂર છે, તે સમજવું જરૂરી છે. આ વિષે મારા અનુભવો અને સમજણને આધારે આ લખું છું.
(૧) પહેલી વાર જ્યારે ડૉક્ટરને બતાવવાની જરૂર લાગે ત્યારે ફેમિલી ડૉક્ટર (જનરલ પ્રેક્ટિશનર), જે તમને અને તમારા કુટુંબને ઓળખતો હોય અને વિશ્વાસ હોય, તેની જ સલાહ લેવી. એ કહે ત્યારે જ બીજા ડૉક્ટર કે સ્પેશ્યાલિસ્ટને બતાવવા જવું.
(૨) કોઈ કારણથી દર્દી કે સગાંને અમુક-તમુક રોગનો વહેમ હોય તો ડૉક્ટર અભિપ્રાય આપે પછી જ પૂછવું, કે મને આ રોગનો વહેમ હતો. આમ કરવાથી ડૉક્ટર ફરીથી વિચારી જવાબ આપી શકે. પહેલેથી જ આપણે કહીએ કે “મેલેરિયા થયો છે,” તો ડૉક્ટરે શું કરવાનું? મેલેરિયાની દવા લખી દેવી? વળી પહેલેથી જ કોઈ ગંભીર રોગ છે તેમ માની લેવું નહીં, સામાન્ય રોગો જ વધારે પ્રમાણમાં થાય છે.
(૩) ડૉક્ટરનો અભિપ્રાય જુદો-જુદો હોઈ શકે. આનું કારણ એમનું જ્ઞાન (ડિગ્રી), અનુભવ અને રિપૉર્ટ વિષેનું તેમનું તારણ જુદું હોઈ શકે. એ જ કારણોથી તેમની દવા કરવાની પદ્ધતિ પણ જુદી હોઈ શકે. માટે, આ કે તે ડૉક્ટર ખોટો કે સાચો છે, એમ માની લેવાની ઉતાવળ ન કરવી. ઘણી વાર આગલા ડૉક્ટરે જે દવા કરી હોય તેનાથી જ બીજા ડૉક્ટર પાસે જતાં સારું થવાનું થયું હોય, કારણ કે દવાની અસર થતાં બે-ત્રણ દિવસ લાગતા હોય છે. મોટા ભાગની દવાઓ જાદુઈ લાકડી નથી હોતી! (આમાં ઇમર્જન્સી દવાની વાત નથી.)
(૪ ) જરૂર લાગે તો બીજા કે ત્રીજા ડૉક્ટરનો અભિપ્રાય લેવામાં કશું ખોટું નથી. બને તો જે ડૉક્ટર સારવાર કરતા હોય તેમને સાથે રાખીને બીજો અભિપ્રાય લેવો જોઈએ. ગંભીર અને ઑપરેશનને લગતા કેસમાં આ જરૂરી હોઈ શકે.
યાદ રાખો, ડૉક્ટર બદલવાથી આપણો રોગ બદલાતો નથી, એટલે વારંવાર ડૉક્ટર બદલવાનું હું યોગ્ય માનતો નથી. જ્ઞાની, અનુભવી ડૉક્ટર કહે તે માનીને પૂરો સહકાર આપવો. ઘણી વાર શરૂઆતના દર્દમાં ન દેખાઈ હોય એવી નવી નિશાનીઓ કે નવા રિપૉર્ટ કે નવું સંશોધન રોગનો પ્રકાર બદલી શકે છે.
(૫) ફક્ત એકલા રિપૉર્ટ લઈને ડૉક્ટરને કદીએ બતાવવા ન જવું, દર્દીને જોયા વગર સાચો અભિપ્રાય લગભગ અશક્ય છે. એમ સમજો, કે રિપૉર્ટ તો માણસનો પડછાયો છે, એનાથી માણસને ન ઓળખી શકાય.
એ જ રીતે દર્દી એકલાને બતાવો અને પહેલાં કરેલા ટેસ્ટના રિપૉર્ટ ન બતાવો તો પણ ન ચાલે.
ડૉક્ટર દર્દીની કે સગાંની પૂછતાછ કરી તપાસે અને છેલ્લે રિપૉર્ટ જોઈને નિદાન પર આવે એ સાચી રીત છે. રિપૉર્ટ બતાવવાની ઉતાવળ ન કરવી, ડૉક્ટર પૂછે તેના સાચા જવાબ આપવા એ ખૂબ જ અગત્યનું છે. જેમ તમને ડૉક્ટર ઉપર વિશ્વાસ હોવો જોઈએ એમ ડૉક્ટરને પણ તમારા પર વિશ્વાસ હોય એ જરૂરી છે.
(૬) પહેલીવાર જ્યારે ડૉક્ટર નિદાન (Diagnosis) કરે, ત્યારે સૌથી વધારે જે રોગની શક્યતા (Most probable) હોય તેના ઉપર આધાર રાખે છે. સામાન્ય લાગતી ઊલટી ડૉક્ટરની નજરે ઘણાં બધાં કારણોથી હોઈ શકે, તેમાંથી તેણે નિદાન કરવાનું હોય છે. (એટલે જ જાતે દવા લેવી ન જોઈએ.) આ નિદાન સમય, સંજોગો અને દર્દીની જે તે વખતની (હા, જે તે વખતની) હાલત પર આધારિત છે. સમય જતાં નવી નિશાનીઓ, નવા રિપૉર્ટ પછી નિદાન અને સારવાર બદલાઈ શકે.
(૭) કોઈ પણ દર્દમાં એક્સ-રે કે બીજા લૅબોરેટરી ટેસ્ટની જરૂર હોય તો ડૉક્ટર કહે તે પ્રમાણે કરવું અત્યંત જરૂરી બની જાય છે, પણ જાતે આ ટેસ્ટ અને પેલો ટેસ્ટ કરાવો એવી વાત કરવી યોગ્ય નથી.
રિપૉર્ટ ઉપર ઘણી વાર આધાર રાખી શકાતો નથી, કારણ કે લગભગ બધી જ તપાસમાં ખોટાં કે ખરાં( False positive and False Negative) પરિણામ આવી શકે છે. અમુક ચેપી રોગોમાં દિવસો કે મહિના સુધી રિપૉર્ટ પૉઝિટિવ ન આવે.(Window Period).
(૮) લેટેસ્ટ ટ્રીટમેન્ટની જાહેરાતોથી ભરમાઈ ન જવું, પણ તેની સમજીને યોગ્ય જાણકારી મેળવવી. ઘણી વાર માર્કેટમાં આવ્યા પછી ગંભીર આડઅસરોને લીધે દવાઓ પાછી ખેંચી લેવી પડી છે.
(૯) હાઈ ડોઝનો અર્થ થાય છે માત્રામાં વધારો. જો ૫૦૦ મિ.ગ્રા.ની જગ્યાએ ૧૦૦૦ મિ.ગ્રા. આપવી પડે તો એ હાઈ ડોઝ કહેવાય. તેને ઊંચી કિંમત સાથે કોઈ સંબંધ નથી. એ જ રીતે કિંમતી દવા લેટેસ્ટ હોય કે હાઈ ડોઝ હોય તે પણ જરૂરી નથી.
(૧૦) કોઈ પણ દવા ગરમ કે ઠંડી હોવી એવું આધુનિક (Allopathy) વિજ્ઞાનમાં નથી. વળી દરેક જણ એનો જુદો-જુદો અર્થ કાઢે છે. (આમાં ખાસ કરીને જે જરૂરી હોય તે જ ન ખવાય એવી ઘણી માન્યતાઓ છે.) આવું જ દવાના રિએક્શન/આડ-અસરની બાબતમાં થાય છે. જોકે ખાસ તકલીફ થાય એવી વાત ડૉક્ટરે કરવી જોઈએ અને આપણે પણ પૂછવું જોઈએ. બની શકે કે દર્દીને જે થતું હોય એ રોગના લીધે કે અન્ય કોઈ કારણે પણ હોય.
(૧૧) દવા એ બેધારી તલવાર છે, સમજીને વાપરીએ તો ફાયદો જ છે, પણ એટલું યાદ રાખવું કે ડૉક્ટરને પૂછ્યા વગર દવાનો ડોઝ બદલવો, ઓછો-વત્તો કે બંધ ના કરવો, એ ઘણું જ નુકસાન કરી શકે છે. ખાસ કરીને,ડાયાબિટીસ, ઊંચું બીપી, રસી (પાક), કેન્સર, વગેરે રોગોમાં ખાસ ધ્યાન રાખવું.
(૧૨) જો ઇમર્જન્સી, તાત્કાલિક સારવારની જરૂર ન હોય, તો દવાખાનાનો અને ડૉક્ટરનો સમય સાચવવો, જેથી યોગ્ય તપાસ અને સારવારની વ્યવસ્થા થઈ શકે, અને ફરીથી ના જવું પડે.
(૧૩) અને છેલ્લે, ખાસ… ડૉક્ટરને ભગવાન માનવાની ભૂલ ન કરવી. ભગવાન સમયાંતરે મટાડે છે અને દુઃખ સહન કરવાની શક્તિ આપે છે. જો કે ડૉક્ટર પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે, અને તેણે આપેલાં સલાહ-સૂચનનું પાલન કરવું.
છેલ્લું ઇન્જેક્શન –
સારામાં સારો ડૉક્ટર તો એ છે કે જે ઘણી ખરી દવાઓની નિરુપયોગિતા સમજે છે.– ડૉ. સર વિલિયમ ઓસ્લર (એમ.ડી.)
आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः
सर्वे सन्तु निरामया
No Opinion Is Final In Medical Science!
ક્રમશ:
ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
પ્રિય સૂરજ : તારું નામ સૂરજ નથી અને જમાઈને તુંકારે સંબોધવાનો રિવાજ નથી
પારુલ ખખ્ખર
(સાસુએ જમાઈને લખેલ પત્ર)
પ્રિય સૂરજ,
તારું નામ સૂરજ નથી અને જમાઈને તુંકારે સંબોધવાનો રિવાજ નથી એ બન્ને વાત જાણું છું.પરંતુ આજે તમામ રૂઢીઓને અળગી કરી થોડી વાતો કરવી છે.આજનો દિવસ તારા માટે ખાસ છે અને મારા માટે પણ. કારણકે આજે તારો જન્મદિવસ છે.વિચારું છું કે આજે તને શું આપું? મારી દીકરી જેવી અમુલ્ય ભેટ મળ્યા પછી હવે તને તમામ ભેટ ફિક્કી જ લાગવાની છે એ હું જાણું છું.છતાં આ પત્ર દ્વારા હું કંઈક આપી શકું તો મારુ લખ્યું સાર્થક થશે.
દીકરા…તું આજસુધી તારા મમ્મી-પાપાનો લડકવાયો દીકરો જ હતો પરંતુ હવેથી તું અમારો જમાઈ પણ છે. તને ખબર છે? જેને દીકરી બહુ વ્હાલી હોય એને માટે જમાઈ એ સવાયો દીકરો હોય છે.મારી દીકરી એટલે ચંદ્રનું સૌમ્ય અજવાળું. એ તારા ઘરને પોતાની લાગણી અને સંસ્કારોથી જાહોજલાલ કરશે.અમારા માટે તું સૂરજ છે. અમે ચાંદો આપીને સૂરજ લીધો છે. તું સૂરજ બનીને અમારા જીવન ઝળહળાવીશ ને? બેટા…લગ્ન એ બે શરીર કે બે પરિવારોનું મિલન જ માત્ર નથી. લગ્ન એ બે વિચારધારાનું પણ મિલન છે.આપણા બન્ને પરિવાર આ ચાંદ-સૂરજના અજવાળે ચમકે એથી રૂડું અમારા માટે શું હોઈ શકે?
આજે મારી દીકરી વિશે થોડી વાતો કરવી છે.મારી લાડલીને તારા હાથમાં સોંપતા પહેલા એની ખામીઓ અને ખૂબીઓ વિશે તને માહિતગાર કરી દઉં તો તમારો પ્રવાસ સરળ થઈ જશે.મારી ઢીંગલી એ મારા ઘરનો પ્રાણ છે અમે એને અલગ રીતે જ ઉછેરી છે.એ પાંચીકા પણ રમી છે અને ક્રિકેટ પણ રમી છે. એને બાર્બી ડોલ એટલી જ ગમે જેટલી મશીનગન. એને પોનીટેઈલ પણ ગમે અને બોયકટ હેર પણ ગમે.એણે મિંયાફૂસકી પણ વાંચ્યા છે અને સ્પાઈડરમેનનાં પરાક્રમો પણ વાંચ્યા છે.એને ક્યારેય સામાન્ય છોકરીઓની જેમ ગુલાબી રંગનું વળગણ નથી રહ્યું.એ જાણે છે કે જીવન માત્ર ગુલાબી-ગુલાબી જ નથી હોતું એમાં કાળા-પીળા-વાદળી રંગોનો સમુહ છે.આનો અર્થ તું સમજે છે ને? અમે એને ક્યારેય પુરુષ સમોવડી બનાવવાના પાઠ નથી ભણાવ્યા કારણકે સ્ત્રી તો સ્ત્રી જ છે એ પોતાનામાં જ સંપુર્ણ છે. એને કોઈના જેવા બનવાની ક્યાં જરુર છે!મારી દીકરીમાં જેટલા લજ્જા-ક્ષમા-પરોપકારનાં ગુણો છે એટલા જ સાહસ-નિડરતા-સામર્થ્યનાં ગુણો છે.એ પોતાના નિર્ણયો લેવામાં આઝાદ છે પરંતુ સ્વછંદી નથી.એ નાનામોટાની આમાન્યા રાખી, એમને માન આપે પરંતુ જોહુકમી સહન ન કરી શકે.
કહેવાય છે કે ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ અને એવું પણ કહેવાય છે કે’દીકરી ને ગાય શીંગડા મારી ખાય’ આ બન્ને અંતિમો વચ્ચેનો મધ્યમ માર્ગ અમે તેને શીખવ્યો છે.તું જાણે છે? કોઈપણ વાદ્યનાં તાર જો ખેંચીને બાંધીએ તો સંગીત ન નિપજે અને જો ઢીલા બાંધીએ તો પણ સંગીત ન નિપજે.જીવન એક સુરીલુ વાદ્ય જ છે એમાં નિયમોની જડતા કે સ્વચ્છંદીપણાની ઢીલાશ ચાલતી નથી.આ વાદ્યના તારને સમ્યક રીતે બાંધીને તમે બન્ને અનોખી હાર્મનીથી રણઝણી ઉઠશો અને સમગ્ર માહોલને સંગીતમય બનાવી શકશો.મારી દીકરીએ આ વાદ્યના તારને સમ્યક રીતે બાંધવાની કળા હસ્તગત કરી છે તું એને સાથ આપીશ ને?
લોકો લગ્નજીવનને વાહનના બે પૈડાની ઉપમા આપતા હોય છે.કહેવાય છે કે એક પૈડુ રથનું અને એક સાયકલનું હોય તો જીવન ખરાબે ચડી જાય છે. જો કે આ જમાનામાં હવે વાહન પોતાના પૈડા જાતે જ પસંદ કરતા હોય છે ત્યારે એ બન્ને સરખા તો હોવાના જ પરંતુ જો કોઈ એક પૈડામાં ઓઈલ બરાબર ઉઝાંયુ નહી હોય તો ચરચરાટ સંભળાશે. તું જાણે છે દીકરા…કે લગ્નજીવનમાં ઉદભવતો ચચરાટ યોગ્ય સમયે દુરસ્ત ન થાય તો એનાં પડઘા બન્ને કુટુંબમઆં અને સમાજમાં સંભળાતા હોય છે!બન્ને પૈડામાં સ્નેહ-સમજણ અને શ્રદ્ધાનું ઓઈલ પૂરતા રહેજો તમારી ગાડી પૂરપાટ દોડશે.
હું જાણું છું કે તારી મમ્માએ તને કેવી સરસ રીતે મોટો કર્યો છે. જેમ એક ઝવેરી કોઈ હીરાને અતિશય નાજુકાઈથી પહેલ પાડીને ચમકદાર બનાવે છે એમ સમજણ અને સંસ્કારના પાસા પાડીને તને ઉછેરવામાં આવ્યો છે.તમારા ઘરમાં પણ દીકરો-દીકરી એક સમાન છે.તારા મમ્માએ તને નાના-મોટા તમામ કામ શીખવ્યા છે.તું બટન પણ ટાંકી શકે છે અને રોટલી પણ શેકી શકે છે. તું છાશ પણ વલોવી શકે છે અને વોશીંગ મશીન પણ ચલાવી શકે છે.તને ઝાપટ ઝુપટ પણ આવડે છે અને કપડાને ગડી વાળતા પણ આવડે છે.આ બધું જ તને શીખવવામાં આવ્યું છે પણ બેટા હું એવી આશા રાખી શકું કે જે સફાઈથી તું ઘર ઝાપટે છે એ જ સફાઈપૂર્વક લગ્નજીવનના અણબનાવોને ઝાપટી કાઢીશ! જે સલૂકાઈથી કપડાની ગડી વાળે છે એજ સફાઈથી જીવનની કરચલીઓને સુલઝાવી શકીશ!તારા ઘરના લોકો દીકરો-દીકરી-વહુ એકસમાન એવું વલણ અપનાવી શકશે ને!
મારી એક બહેનપણી મજાકમાં કહેતી હોય છે કે ‘લગ્ન તો ગાજરની પીપૂડી કહેવાય વાગે ત્યાં સુધી વગાડી લેવાની પછી ચાવી જવાની. દીકરી માટે ઘરનાં દરવાજા ૨૪ કલાક ખુલ્લા જ રાખવાના.’ મારી દીકરી આ બધું સાંભળીને ખૂબ હસે. પણ હું એને સમજાવું કે બેટા…લગ્નને ગાજરની પીપૂડીની જેમ નહીં પણ ફ્રુટસલાડની જેમ માણી શકે એજ સુખી થાય. આપણું જીવન મીઠું મધુર દુધ સમાન છે એમાં ચીકૂ-કેળા જેવા મધુર ફળો પણ હોય, દ્રાક્ષ-દાડમ જેવા ખાટા ફળો પણ હોય,એમાં કેસર-ઈલાયચી પણ હોય અને ખાંડ પણ હોય.પ્રેમની હાંડીમાં જેમ જેમ જીવનનું દુધ ઉકળીને ઘટ્ટ થશે એમ વાનગીમાં સ્વાદ વધશે.અમારા આશીર્વાદ અને શુભેચ્છા એમાં ડ્રાયફ્રુટની જેમ ભળી જશે.તમે બસ..સમજણની કડછી વડે એને હલાવતા રહેજો.
ડીયર, આમ તો જમાઈને શીખામણ આપવાનો સાસુને કોઈ અધિકાર નથી પણ તું મને મમ્મી જ કહે છે તો હું થોડીવાર માટે તારી મમ્મી બની જાઉં? બેટા…ધ્યાનથી સંભળજે.જેમ એક વહુ પાસે એવી અપેક્ષા રખાય છે કે તે દુધમાં સાકરની જેમ કુટુંબમાં ભળી જાય એવી અપેક્ષા હું તારા માટે રાખી શકું? મારી દીકરીની નૈયાનો તું કુવાથંભ છે એ તારા આધારે આ ભગસાગરમાં ઝંપલાવી રહી છે તું એને હાથ ઝાલી રાખીશને?તારા ઘરમાં એ અનેક આશાઓ અને સપનાઓની પોટલી બાંધીને આવશે તું એના યોગ્ય સપનાઓને પૂરા કરવામાં સહાય કરીશને? એ એક સાવ અજાણ્યા ઘરમા, એક નવા જ માહોલમાં, અજાણી વ્યક્તિઓ સાથે જીવન વિતાવવા આવી રહી છે તું તારા કુટુંબ અને મારી દીકરી વચ્ચે મજબૂત કડી બની રહીશ ને? પછી તું જોજે મારી દીકરી પોતાના સ્નેહની સાંકળથી તમને બધાને જોડી રાખશે.મેં એને ક્યારેય પરિવારથી અળગા રહેવાનું નથી શીખવ્યું એટલે હવે તારી ફરજ બને છે કે તું અને તારો પરિવાર એને હળીભળી જવામાં મદદરુપ થાઓ. બેટા..જેમ એક સાસુ પોતાની આવનારી વહુ પર અનેક મદાર રાખીને બેઠી હોય છે એમ અમે પણ એક જમાઈ પાસેથી ઘડપણની ટેકણલાકડી બનવાની અપેક્ષા રાખી શકીએ?
બેટા…તમે બન્ને સંપીને રહો, સંપીને કામ કરો, જોબ કરો, હરો-ફરો, જલ્સા કરો એનાથી વધુ મોટુ અમારું શું સપનું હોઈ શકે? તમે બન્ને અમારા આકાશનું અજવાળુ છો. અમને આશા છે કે તમે એકબીજાના અજવાળાની ઈર્ષ્યા કે હરિફાઈ કર્યા વગર અમને રળિયાત કરશો. સૂરજ અને ચાંદો બન્ને પોતપોતાના સ્થાન પર એકમેવ છે. અમને ઝળહળતો સૂર્ય એટલો જ વ્હાલો છે જેટલો સૌમ્ય ચંદ્રમા.
બસ..હવે બહુ વાતો કરી ચાલ…રજા લઉં. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ આપી ,મારા સૂરજના માથેથી ઓવારણા લઈ એટલું કહીશ કે આમ જ ચમકતો રહેજે.
—તારી સાસુમમ્મી પારુલ ખખ્ખર
-
ગોવિંદ દીયો બતાય !
હરેશ ધોળકિયા
ઉત્સવોના મહિના શરુ થાય છે. તાજેતરમાં ” ગુરુ પૂર્ણિમા’નો ઉત્સવ પસાર થઈ ગયો. ઉત્સાહથી ઉજવાયો.
કોઈ પણ તહેવાર ઉત્સાહથી ઉજવાય તે તો યોગ્ય જ છે, પણ ઘણી વાર, આમ તો મોટે ભાગે, તેનું સાચું મહત્વ સમજયા વિના જ ઉત્સાહ પ્રગટ થતો હોય છે. અન્ય તહેવારો જેમ આ ઉત્સવમાં પણ કંઈક એવું જ બને છે.
ગુરુ પૂર્ણિમામાં ‘ ગુરુ’ શબ્દ મહત્વનો છે. ઉજવવા સમયે આ શબ્દ તરફ જ ધ્યાન નથી અપાતું. મોટે ભાગે ‘ ગુરુ’ અને ‘ શિક્ષક’ શબ્દને ભેળસેળ કરી નખાય છે. એટલે આ દિવસે શિક્ષકોને સન્માનાય છે. સન્માન કરવું અયોગ્ય નથી. કરવું જ જોઈએ, પણ ગુરુપૂર્ણિમાના દિવસને શિક્ષક સાથે કશો જ સંબંધ નથી. ગુરુ જુદા છે અને શિક્ષક જુદા છે. આ તફાવત બરાબર સમજી લેવાની જરુર છે. ગુરુ માટે ‘ આ’ દિવસ છે અને શિક્ષક માટે ‘ શિક્ષક દિન’ છે.
કેમ બે દિવસો અલગ છે ? અહીં ગુરુને જ સમજીએ.
ગુરુ એટલે કોણ ? ગુરુ શિક્ષક છે, પણ શિક્ષક ગુરુ નથી-આ યાદ રાખવાનું છે.
કેમ?
બન્નેનાં કાર્યો જ અલગ છે.
આ સમજવા માટે બીજા બે શબ્દ પણ સમજવા પડશે. તે છે ” વિદ્યા” અને ” અવિદ્યા.” અવિદ્યા એટલે નકામી વિધા નહીં, પણ ભૌતિક વિધા. આ જગત સંબંધી વિદ્યા. આપણા પાસે જે બધાં જ શાસ્ત્રો છે, વિજ્ઞાનનાં અને સામાજિક વગેરે, તે બધાં અવિદ્યા છે. શાળા કોલેજોમાં જે વિષયો ભણાવવામાં આવે છે, તે સંસારમાં કામ આવે તેવા વિષયો છે, તે અવિદ્યા છે. શિક્ષક આ અવિદ્યા શીખવનાર લોકો છે.
‘વિદ્યા’ એટલે આત્મિક જ્ઞાન. પોતા વિશેનું જ્ઞાન. જેને ‘અધ્યાત્મ’ કહે છે તે જ્ઞાન. તે વ્યકિતને જગત વિશે નહીં, પોતા વિશેનું જ્ઞાન આપે છે. અવિદ્યાથી નોકરી મળે, પૈસા મળે, જગતનો વ્યવહાર સચવાય, પણ વિદ્યાના પરિણામે તો વ્યકિત જગતનાં અને પોતાના મૂળને સમજે અને અનેક બંધનોમાંથી મુકત થાય. સ્વતંત્રતા પ્રાપ્ત કરે. એટલે જ કહ્યું છે કે ‘ સા વિદ્યા યા વિમુકતયે.” એટલે કે જે મુકત કરે તે વિદ્યા. અવિદ્યા વિશે આવું કોઈ વાક્ય નથી. વિદ્યા વ્યકિતને અસ્તિત્વ સાથે એકતા સધાવે છે. કહેવાતાં બધાં જ બંધનોથી સ્વતંત્ર કરે છે. અવિદ્યા આવું કશું કરી શકતી નથી. તે ચેતનાનો અભ્યાસ કરે છે, પણ ચેતનાની અનુભૂતિ કરાવતું નથી. ચેતનાની અનુભૂતિ કરાવે, ચેતના સાથે અહ્દેત સધાવે, ચેતનામય બનાવે-તે વિદ્યા. અને ” આ” વિદ્યા આપે તે જ ” ગુરુ” છે. ગુરુ પણ શીખવે જ છે, પણ ચેતનાનું જ શિક્ષણ આપે છે. તેને ભૌતિક વિદ્યાઓ સાથે કશો સંબંધ હોતો નથી. જો તે ભૌતિક વિદ્યા આપે તો તે ગુરુ મટી શિક્ષક બની જાય છે.
ભારતીય દર્શનમાં તપાસ કરશું તો દેખાશે કે વશિષ્ઠ રામને જે શિક્ષણ આપે છે, વેદાંતની, તે વિદ્યા છે. (‘ વશિષ્ઠ રામાયણ’ વાંચવું) માટે તે રામના ગુરુ છે. તે આ વાત સિવાય કશી જ બીજી વાત કરતા નથી. અને મહાભારતમાં દ્રોણાચાર્ય શસ્ત્ર વિદ્યા શીખવે છે. આ વિદ્યા નથી, અવિદ્યા છે. દ્રોણાચાર્ય ભલે ગુરુ મનાતા હોય, પણ તે હકીકતે માત્ર શિક્ષક જ છે. અને એમાં જ કૃષ્ણ અર્જુનને ગીતા કહે છે, જે વિદ્યા છે. એટલે કૃષ્ણ ગુરુ છે.
આમ એક વખત વિદ્યા અને અવિદ્યા શબ્દ સમજાઈ જાય, પછી ગુરુ અને શિક્ષક વચ્ચેનો ભેદ સમજાઈ જશે.
હા, બન્નેમાંથી કોઈ ઉંચું કે નીચું નથી. બન્ને પોતપોતાનાં કામ કરે છે. બન્ને કામ જરુરી છે. એટલે બન્ને પોતપોતાની જગ્યાએ ઉપયોગી છે. પણ પરિણામ બન્નેનાં અલગ છે. આ સંદર્ભમાં ગુરુ મહત્વના બને છે.
અવિદ્યામાં વ્યકિત વધારેમાં વધારે મોટી સતા મેળવે છે યા ઉદ્યોગપતિ બને છે અથવા કરોડો પતિ બને છે અથવા સમાજમાં મહત્વની વ્યકિત બને છે. પણ આ બધું મેળવ્યા પછી તેનામાં કોઈ પાયાનો ફેરફાર થતો નથી. તેની માન્યતાઓ જૂનવાણી ચાલુ રહી શકે છે. તેમનું મગજ સંકુચિત હોઈ શકે છે. હિંસા વગેરે અવગુણો ચાલુ રહી શકે છે. તેનામાં બાહ્ય પરિવર્તનો આવી શકે છે, પણ આંતરિક રીતે તો તે સામાન્ય વ્યકિત જ રહે છે. ભૌતિક વિદ્યા તેને ભૌતિક રીતે જ પ્રગતિશીલ બનાવી શકે છે. તેને સત્યનું જ્ઞાન નથી મળતું.
જયારે વિદ્યામાં તો આત્મિક જ્ઞાન મળે છે. આ જ્ઞાનના પરિણામે એક ઊંડી અનુભૂતિ મળે છે. અસ્તિત્વ સાથે એકતાનો અનુભવ થાય છે. આવી વ્યકિત કેવળને કેવળ વિશાળતાની જ અનુભૂતિ કરે છે. પરિણામે તેનામાં ક્ષણિક પણ સંકુચિતતા નથી. નાના, સાંકડા વિચાર કરી શકતી નથી. સમગ્ર જગતને કારણ વિના ચાહે છે. તેનામાં પ્રેમ સિવાય કશું જ નથી હોતું. તે કોઈ જાતિ, જ્ઞાતિ, રંગ, ધર્મ, રાષ્ટ્રમાં માનતી જ નથી. સમગ્ર વિશ્વ તેનું ઘર છે. બધા જ મનુષ્યો, ના, સમગ્ર બ્રહ્માંડ તેના મિત્રો છે. તે વિશ્વમિત્ર છે. તેને જગતમાં કેવળ ઈશ્વરનાં જ દર્શન થાય છે. જગતનાં બધાં જ સ્વરુપો તેના માટે ઈશ્વરનાં જ પ્રતિબિંબ છે.
ગુરુ આ વિદ્યા આપે છે. કેવળ ગુરુ જ આ વિદ્યા આપી શકે છે. ગુરુ પાસે વિદ્યા લીધા પછી અંતિમ પરિણામ શું આવે ?
કબીર તેનો જવાબ આપે છે કે ‘ ગોવિંદ દિયો બતાય.” ગુરુ ગોવિંદનાં-ઈશ્વરનાં, ચેતનાનાં દર્શન કરાવે છે. ગુરુપૂર્ણિમા આવા, ચેતનાનાં દર્શન કરાવનાર, ઈશ્વરનું સાંનિધ્ય અપાવનાર ગુરુ માટે છે. ” આવા” ગુરુનું તે દિવસે સન્માન કરવાનું છે. આ દિવસે તેના પાસે બેસવાનું છે અથવા તેમનું સ્મરણ કરવાનું છે.
ફરીથી, એમ નથી માનવાનું કે શિક્ષક ગુરુ કરતાં નીચા છે. ના, શિક્ષકનું કામ જ અલગ છે. તેણે બાળકને જગતમાં “ફીટ” કરતા -અનુકૂલન કરતા-શીખવવાનું છે. ગુરુએ તો અસ્તિત્વ સાથે એક થતાં શીખવવાનું છે. શિક્ષક પાસે રહેલ બાળક બાહ્ય રીતે ખૂબ પ્રગતિ કરી શકશે. ગુરુ પાસે રહેલ વ્યકિત આંતરિક રીતે ચેતનામય થઈ જશે. તેની આંખો, તેનું અસ્તિત્વ ચેતનાના પ્રકાશમાં નહાઈ ઉઠશે. આવી વ્યકિત પણ, સંભવ છે, બહારથી સફળ હશે, પણ તેના માટે સફળતા મહત્વની નહીં હોય. તેના માટે તો આ અનુભૂતિ જ મહત્વની હશે. આ અનુભૂતિ માટે તે બાહ્ય સમગ્ર જગતનો ત્યાગ કરવા તૈયાર થઈ જશે.
બીજું, અવિધા મેળવનાર વ્યકિત પુષ્કળ જ્ઞાની થવા છતાં અધૂરાશ જ અનુભવશે. તે સમત્વનો અનુભવ નહીં કરી શકે. સમૃધ્ધિ વચ્ચે પણ અસંતોષનો અનુભવ કરશે. તેને કયારેય પૂર્ણતાનો અનુભવ નહીં થાય. પૂર્ણતાનો અનુભવ કરવા માટે તો તેણે ગુરુ પાસે જવું પડશે. કેવળ ગુરુ જ પૂર્ણતાની અનુભૂતિ કરાવી શકે. ખુદ શિક્ષકને પણ આ અનુભૂતિ કરવી હશે તો કોઈ ગુરુ પાસે જવું પડશે. શિક્ષકે જગતનાં બધાં જ શાસ્ત્રો વાંચ્યાં હશે તો પણ તેને અધૂરાશનો અનુભવ થયા કરશે. ગુરુએ કદાચ કોઈ જ શાસ્ત્ર વાંચ્યું નહીં હોય, છતાં તે પળેપળ પૂર્ણતામાં સ્નાન કરતા હશે.
પણ, ફરીથી, ગુરુની કસોટી એક જ. ગોવિંદનાં દર્શન કરાવે તે ગુરુ. તેનાથી ઓછી વાત કરે તો એક પળ પણ તેને ગુરુ ન માનવા. ઠીક છે, મન હોય તો આદર આપવો, પણ ગુરુ ન માનવા. ગુરુની તો આ એક જ લાયકાત : ઈશ્વર દર્શન, આત્મદર્શન. અસ્તિત્વ સાથે એકતાનો અનુભવ કરાવવો.
ગુરુઓ લાખોમાં એક હોય છે. સદભાગીને તે મળતા હોય છે. અને વ્યકિત સદભાગી ન હોય અને તેને જીવંત ગુરુ ન મળે તો ચિંતા ન કરવી. આજ સુધી હજારો આત્મસાક્ષાત્કારી ગુરુઓ થઈ ગયા છે. તેમનું સ્મરણ કરવું. તો પણ સંભવ છે વિશ્વામિત્ર થવા તરફ આગળ વધાશે. અને યાદ રાખવું, સામાન્ય વ્યકિતને ગુરુ માનવા કરતાં ગુરુ વિનાના રહેવું યોગ્ય છે. તો ભગવાન બુધ્ધનું આ વાકય યાદ રાખવું : ” આત્મદીપોભવ..” પોતે જ પોતાના ગુરુ બનવું.
વર્તમાનમાં કોઈ ઉતમ ગુરુ છે ?
તેનો જવાબ આપવો અશકય છે. ન હોય એમ તો ન બને. જરુર શોધવા. પણ કસોટી એક જ રાખવી. જે વ્યકિત કેવળને કેવળ ઈશ્વરની જ વાતો કરે, તેના સિવાય બીજી કશી જ વાતો ન કરે, આપણે કરવા જઈએ તો પણ અટકાવે અને ન જ કરવા દે, તેનું મુખ્ય લક્ષણ “ત્યાગ” જ હોય, તે વૈરાગી જ હોય, તો જ તેમને ગુરુ માનવા. ભલે તેના પાસે ડિગ્રી ન હોય, કદાચ સામાન્ય જ્ઞાન પણ ન હોય, ઓફિશીયલી કદાચ અભણ પણ હોય, પણ આ એક લાયકાત હોય- કેવળ ઈશ્વરની જ વાત કરવાની-તો જરા પણ ચિંતા કર્યા વિના તેમને ગુરુ માનવા. અન્ય વિવિધ વિષયોના નિષ્ણાતોને કે શિક્ષકોને માર્ગદર્શક માનવા અને તેમનું પણ ચોકકસ સન્માન કરવું. માત્ર ગુરુ ન માનવા. ગુરુ તો માત્ર એ જ જે બધી સંકુચિતતાઓથી મુકત કરી કેવળ વિશાળતાનો જ અનુભવ કરાવે. તે ધર્મ કે રાષ્ટ્રીયતા વગેરેની વાતો કરે, તો ચૂપચાપ ખસી જવું.
આવા ગુરુ મળે તે દિવસે ગુરુપૂર્ણિમા ! ગુરુ પણ પૂર્ણિમા જેવા પૂર્ણ હશે અને આપણે પણ તેમના સત્સંગથી પૂર્ણિમા જેવા તેજસ્વી અને પૂર્ણ બનશું.
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com
