રામાયણ – સંશોધકની નજરે

પૂર્વી મોદી મલકાણ

પુરાણો કેટલા છે? તો એ નો જવાબ છે અઢાર. આ જવાબ આપણાં બધાં પાસે છે, પણ આ પુરાણોની આયુ કેટલી?, પુરાણો એટ્લે શું ? અને પુરાણો ઉપર શાસ્ત્રોક્ત વ્યાખ્યાં શું છે? આ બધાનો પ્રશ્નનાં જવાબ થોડાં વિચારણીય બની જાય છે. તો ચાલો આજે નીકળી પડીએ પુરાણોની રચનાનું કારણ જાણવા. 

પુરાણો… ઉપનિષદ, વેદોની જેમ પુરાણો પણ હિન્દુઓનું ધર્મસંબંધિત એવો આખ્યાનગ્રંથ છે જેમાં ભક્તિની સહસ્ત્ર ધારાઓ પ્રવાહિત થઈ હતી. આ પ્રમાણે સહસ્ત્ર ધારાઓ પ્રવાહિત થવાનું એ કારણ કહી શકાય કે, એ સમયમાં કર્મકાંડ ( વેદ ) થી જ્ઞાન ( ઉપનિષદ) ઉપર બ્રાહ્મણો અને આચાર્યોનો પ્રભાવ હતો. જ્યારે પુરાણોમાં રહેલ કથા, શ્રુતિ, સ્મૃતિ આદીએ સામાન્ય જનમાનસને સમજાય તેવી હોવાને કારણે પુરાણોનો વિકાસ વધુ થયો. આ શ્રુતિ, સ્મૃતિ અને કથા સિવાય આ ગ્રંથમાં શિવ -વિષ્ણુ અને તેમની સૃષ્ટિ, વાયુ, જલ સૃષ્ટિ, પ્રાચીન ઋષિઓ અને તેમની આશ્રમ વ્યવસ્થા, જે તે સમયનો સમાજ અને તે સમયનાં સામાજિક જીવન, પાપ અને પુણ્યની વ્યાખ્યા, દેવી-દેવતાઓનું મહત્ત્વ અને તેમનાં પ્રાગટ્યનો ઇતિહાસ, ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ, પૃથ્વી અને સૃષ્ટિનાં આરંભ અને અંત સુધીની યાત્રા, ક્રિયા અને કર્મ વચ્ચેનું પરિમાણ,  તીર્થયાત્રા,  ચિકિત્સા,  ખગોળ, ખનીજ અને વિજ્ઞાન શાસ્ત્ર, વ્યાકરણ વગેરે ઉપર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. ટૂંકમાં એમ કહી શકાય કે; પુરાણોમાં વર્ણિત વિષયોની કોઈ સીમા નથી.
પુરાણોની રચના મૂળ દેવભાષા સંસ્કૃતમાં કરવામાં આવી હતી, પણ મધ્યકાલીન યુગથી આ સંસ્કૃત ગ્રંથોને પ્રાકૃતિક અને ક્ષેત્રિય ભાષામાં બદલવામાં આવ્યાં જેને કારણે કવચિત્ કેવળ બ્રાહ્મણોનાં ગૃહમાં નિવાસ કરનારા પુરાણો પ્રત્યેક નાના મોટા ગૃહોમાં પહોંચ્યાં. ઈતિહાસકારો અને ભૂસ્તરશાસ્ત્રીયોએ કહ્યું છે કે, જ્યાં હિન્દુ પુરાણોનાં રચનાકાર અજ્ઞાત છે, ત્યાં જૈન અને બૌધ્ધધર્મનાં ગ્રંથોમાં પાંડુલિપિમાં રચિત પુરાણોનો ઉલ્લેખ જોવા મળે છે અને આ પાંડુલિપિમાં આ પુરાણોને કોણે ફેરવ્યાં તેમનાં નામ પણ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ, સભ્યતા એવં ઇતિહાસનાં સમ્યક જ્ઞાનને માટે પુરાણોનું ગહન અધ્યયન પરમ આવશ્યક છે. પુરાણો એ ભારતીય સંસ્કૃતિ એવં સભ્યતાનાં મેરુદંડ છે. આ મેરુદંડનાં ગંભીર અભ્યાસ વગર ભારતનો અતીત અને ઇતિહાસ અપૂર્ણ છે તેમ છતાં યે આ શબ્દનો ઉલ્લેખ ક્યાં ક્યાં થયો છે તે જાણકારી સરળતાથી મળતી નથી. તેથી ચાલો આજે આપણાં પૂર્વ ઇતિહાસનાં પાનાઓમાં ચાલીયે અને શોધીએ કે પુરાણો વિષે જે તે સમય શું કહે છે અને પુરાણોની રચના પાછળનું પ્રયોજન શું હતું.    
 
પુરાણોની રચના પાછળની કથા અને પ્રયોજન:-

કથા છે કે’; જ્યારે બ્રહ્માજીએ વેદોની શ્રુતિઓ અને ઋચાઓને જ્યારે સ્મરવી શરૂ કરી તે અગાઉ બ્રહ્મદેવે ઊંડા શ્વાસ ભરી નિશ્વાસ નાખ્યો તે સમયે પુરાણોનું પ્રાગટ્ય થયું. આ ઊંડા શ્વાસ ભરવાનું કારણ એ હતું કે, બ્રહ્મદેવે વિચાર્યું કે વેદો એ ઋષિસંસ્કૃતિ, અને આશ્રમ સંસ્કૃતિનો ભાગ બને તે અગાઉ તેને પાયારૂપ આધારની જરૂર છે માટે આપે શિષ્યની પરંપરાની સાથે શ્રવણ, અર્ચન, પૂજન, પઠન, પાઠનની રીતિ જનસમુદાયનાં હૃદયમાં સ્થાપીત કરવા માટે પુરાણોની રચના કરી જેથી કરીને વેદોને શિક્ષા રૂપે આપવા માટે અને શિક્ષણરૂપે લેવા માટે શુધ્ધતા અને નિયમ જળવાઈ રહે. ( વા.પુ -૩/૫૪ અને મ.પુ -૩/૪ )

પુરાણોની આયુ

પ્રથમ પ્રશ્ન પુરાણોની આયુ કેટલી? તે વિષે એમ કહેવું પડે જેટલી જ પ્રાચીન છે ભારતીય સંસ્કૃતિ છે તેટલી જ કે પુરાણોની સત્તા છે. તેમ છતાં યે પરફેક્ટ આયુ કહેવી હોય તો એમ કહી શકાય કે, શિવપુરાણની આયુ અન્ય પુરાણોની સરખામણીમાં સૌથી જૂની છે. ( અલબરુની -૧૦૩૦ નાં અનુસાર ) જ્યારે અન્ય એક મત કહે છે કે, કૈલાસ સંહિતાનાં ૧૬ અને ૧૭ માં અધ્યાય માં દશમી સદીનાં પૂર્વાધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો બીજો મત ૧૩ મી સદીનાં ઉત્તરાર્ધમાં લઈ જાય છે.  ત્રીજો મત એમ પણ કહે છે કે શિવપુરાણ એ મુખ્ય પુરાણનો ભાગ નથી બલ્કે ઉપપુરાણનો ભાગ છે. આ ઉપપુરાણોનાં ક્રમાંકમાં આવે છે ભાગવત પુરાણની આયુ ચોથી સદીમાં માનવામાં આવી છે.
જોકે ભાગવત પુરાણનાં રચયિતા વેદવ્યાસજી ખરા, પણ વેદ વ્યાસ ક્યા? ઈતિહાસકારો કહે છે કે, જે ચારે વેદને સમજી શકે છે, જાણી શકે છે, વાંચી શકે છે અને આ વેદ ઉપર ભાષ્ય, ટિકા વગેરેની રચના કરી તેમનાં ઉપર વ્યાખ્યાન કરી શકે છે તેમને વેદ વ્યાસ તરીકેની ઉપમા આપવામાં આવે છે. પણ જો આ પ્રકારે જોઈએ તો વેદવ્યાસજી તો એ વેદવ્યાસ ન થયાં જેને આપણે ભાગવતનાં રચયિતા તરીકે ઓળખી શકીએ. બીજી વાત એ કે ભાગવતનાં રચયિતા તરીકે જેનો ઉલ્લેખ થાય છે તેમનું મૂળ નામ છે દ્વૈપાયન ( જેમનો જન્મ દ્વીપ પર થયેલો છે તે ) આગળ વધતાં ઈતિહાસકારો એમ પણ કહે છે કે, દ્વૈપાયન વેદવ્યાસજી નો ક્રમાંક ૨૮ મો છે અર્થાત આ ૨૮ પહેલાં થઈ ગયેલાં ૨૭ વેદ વ્યાસોએ મૂળ ભાગવતની રચનામાં કોઈ ને કોઈ ફાળો ચોક્કસ આપ્યો હશે અને ભાગવત ગ્રંથની પૂર્ણાહુતિ આ મહર્ષિ દ્વૈપાયન વેદવ્યાસજી દ્વારા થઈ હશે. આ પ્રકારનાં વેદવ્યાસો દરેક કલ્પમાં આવે છે પણ શ્રીમદ્ ભાગવત ગ્રંથની રચનામાં જોડાયેલાં અંતિમ વિદ્વાન એ દ્વૈપાયનજી હતા.

આમ ઈતિહાસકારો એ કહેલાં કથનને બીજી રીતે વિચારતાં એ ય સમજવા મળે છે કે; મૂળ મહાભારત ગ્રંથનાં રચયિતા વેદવ્યાસજીને ખ્યાલ હતો કે કૃષ્ણનું ચરિત્ર શું છે આથી જ્યારે ભાગવત ગ્રંથની રચના થતી હતી ત્યારે દશમ સ્કંધની રચનામાં દ્વૈપાયનજીએ પોતાનો સહયોગ આપ્યો અને વિષ્ણુનાં વિવિધ અવતારોની મહત્ત્વતા આ એક અવતારકાર્યમાં પૂર્ણ કરી. આ બાબતમાં એ ય જોવાની વાત છે કે; પુરાણોની રચનામાં ભાગ આપનાર આચાર્યોનાં સમયને જો જોવામાં આવે તો પુરાણો ક્યા સમયમાં રચાયાં તે વિષેની ચર્ચામાં ચોક્કસ ભિન્નતા આવે છે અને સમયકાળ ક્યો હતો તે વિષેની ચર્ચાનો ભાર વિશેષ થઈ જાય છે. તેથી તે પુરાતન કાળનાં સમયની પાછળ ન દોડતાં આપણે અંદાજે કહેલાં સમયકાળને જોઈએ.


ક્રમશઃ


© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ | purvimalkan@yahoo.com