ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

દિનેશ.લ. માંકડ

પ્રાચીન ભારતની શિક્ષણ પદ્ધતિ કેવળ પુસ્તક આધારિત હતી જ નહિ..તમામ પ્રકારની વિદ્યા અને જીવન ઘડતર પણ શિક્ષણનો જ ભાગ હતો.આ વાત આપણે વારંવાર જાણીએ -સાંભળીએ છીએ શિક્ષણમાં પૂર્વતૈયારી રૂપે સજ્જ થવું આવશ્યક છે.અમૃતનાદ ઉપનિષદ આ રીતે પ્રારંભ કરે છે. शास्त्राण्यधीत्य मेधावी अभ्यस्य च पुनः पुनः । ‘જ્ઞાનવાન મનુષ્યનું એ કર્તવ્ય છે કે શાસ્ત્રાદિનું અધ્યયન કરીને વારંવાર અભ્યાસ કરતા રહેવું .અને આગળ કહે છે કે  ओङ्कारं रथमारुह्य विष्णुं कृत्वाथ सारथिम् ।.’ ૐ કાર રૂપી રથમાં આરૂઢ થઇ,ભગવાન વિષ્ણુને સારથી બનાવી પરમપદનું ચિંતન કરતાં કરતાં જ્ઞાની પુરુષ ઉપાસનામાં તલ્લીન રહે.’ લક્ષ્ય પ્રાપ્તિ માટે સ્પષ્ટ કહે છે કે ‘ જ્યાં સુધી એ ( પ્રણવરૂપી ) રથ દ્વારા ત્યાં સુધી ચાલવું જોઈએ, જ્યાં સુધી રથને ચાલવા યોગ્ય માર્ગ પૂર્ણ ન થાય.’ स्थित्वा रथपथस्थानं रथमुत्सृज्य गच्छति|

યોગ અને પ્રાણાયામ વિષે ભારતનો સામાન્ય નાગરિક તો છેલ્લા થોડાં વર્ષોથી જ સુપરિચિત થયો છે.પરંતુ  યોગ અને પ્રાણાયામની આવશ્યકતા અને ઉપયોગીતાનું મૂલ્ય તો આપણા તમામ પ્રાચીનશાસ્ત્રોમાં છે જ. ઉપનિષદોમાં પણ તેનો વિશેષ ઉલ્લેખ છે.અને શ્રેષ્ઠ તન અને શ્રેષ્ઠ મન માટેની તેની પ્રાથમિક જરૂરિયાત બતાવીને તેનાથી પ્રાપ્ત અંતિમ લક્ષ્ય પણ જણાવ્યું છે. કૃષ્ણ યજુર્વેદ સંબંધિત અમૃતનાદ ઉપનિષદ યોગની વ્યાખ્યાથી માંડી પુરેપુરી સમજ પાડે છે. અહીં આ મંત્રમાં યોગની પૂર્ણ વ્યાખ્યા કરવામાં આવી છે.प्रत्याहारस्तथा ध्यानं प्राणायामोऽथ धारणा ।sतर्कश्चैव समाधिश्च षडङ्गो योग उच्यते ॥ ‘પ્રત્યાહાર ,ધ્યાન,પ્રાણાયામ ,ધારણા તર્ક અને સમાધિ આ છ અંગોથી ચુસ્ત સાધનાને યોગ કહેવામાં વાવે છે.’

પ્રાણાયામથી થતા શ્રેષ્ઠ લાભોને એક નક્કર ઉદાહરણથી સમજાવીને સાધકની શ્રદ્ધા વધારે છે.’ અગ્નિમાં તપાવવાથી સોનુ વગેરેનો મેલ ભસ્મ થાય તેમ સમસ્ત ઇન્દ્રિયો દ્વારા કરવામાં આવેલ દોષ, પ્રાણાયામની પ્રક્રિયા કરવાથી ભસ્મ થઇ જાય છે.’ यथा पर्वतधातूनां दह्यन्ते धमनान्मलाः। तथेन्द्रियकृता दोषा दह्यन्ते प्राणनिग्रहात् ॥

પ્રાણાયામની જેમ જ યોગ્ય રીતે કરેલ ધારણા.ધ્યાન, પ્રત્યાહારથી પણ થતા ઉત્તમ લાભ કહીને સાધકનું આત્મબળ અને સાથે યોગ વિશેની મહત્તા વધારે છે. प्राणायामैर्दहेद्दोषान्धारणाभिश्च किल्बिषम् । प्रत्याहारेण संसर्गाद्ध्यानेनानीश्वरान्गुणान् ॥ किल्बिषं हि क्षयं नीत्वा रुचिरं चैव चिन्तयेत् ॥ પ્રાણાયામથી જેમ દોષ વિકાર જાય તેમ ધારણાના માધ્યમથી પાપો ,પ્રત્યાહારથી ઇન્દ્રિય સંસર્ગથી ઉત્પન્ન દોષો,અને ધ્યાન દ્વારા અનીશ્વરીય ગુણોનો નાશ થાય છે .અને આ પ્રમાણે સંચિત પાપો અને કુસંસ્કારોનું શમન કરતાં કરતાં પોતાના ઇષ્ટનું ચિંતન કરવું.’

सव्याहृतिं सप्रणवां गायत्रीं शिरसा सह । त्रिः पठेदायतप्राणः प्राणायामः स उच्यते આ શુદ્ધ પ્રાણાયામની વ્યાખ્યા કરીને ‘રેચક’, ‘પૂરક’ અને કુંભક  વિષે પણ સ્પષ્ટ સમજણ અહીં અપાઈ છે. (નાક વાટે ) પ્રાણવાયુને બહાર કાઢીને મન સ્થિર કરવું તે ‘રેચક’, शून्यभावेन युञ्जीयाद्रेचकस्येति लक्षणम् ॥ ધીમી ગતિથી પ્રાણવાયુને  પોતાનાં  અંતઃકરણમાં ધારણ કરે તે ‘પૂરક’ નું લક્ષણ છે. एवं वायुर्ग्रहीतव्यः पूरकस्येति लक्षणम् ॥ અને શ્વાસને ન તો અંદર ખેંચવામાં આવે અને ન તો બહાર કાઢવામાં આવે તથા શરીરમાં કોઈ જાતની હલચલ પણ ન કરવામાં

 

 

આવે .આ રીતે પ્રાણવાયુને રોકવાની પ્રક્રિયાને ‘ કુંભક ‘ પ્રાણાયામનું લક્ષણ કહે છે. नोच्छ्वसेन्न च निश्वासेत् गात्राणि नैव चालयेत् । एवं भावं नियुञ्जीयात् कुम्भकस्येति लक्षणम् ॥

પ્રાણાયામથી આગળ ધારણાની દ્રઢતા માટેનો અમૃતનાદ ઉપનિષદનો આગ્રહ પણ કેવો અદભુત છે. मनः सङ्कल्पकं ध्यात्वा संक्षिप्यात्मनि बुद्धिमान् । धारयित्वा तथाऽऽत्मानं धारणा परिकीर्तिता ॥ ‘બુદ્ધિમાન મનુષ્ય મનને સંકલ્પિત કરી આત્મામાં લય કરી દે પછી એ આત્મારૂપી સદબુદ્ધિને પણ પરમાત્મ સત્તાના ધ્યાનમાં સ્થિર કરી દે. આ રીતની ‘ધારણા;ની સ્થિતિ કહે છે..’  ‘તર્ક’ સંગત વિચાર કરી ,ભૌતિક  પદાર્થોને તુચ્છ માનીને મન સ્થિર કરે તેને ‘સમાધિ’ કહે છે.समं मन्येत यं लब्ध्वा स समाधिः प्रकीर्तितः ॥

તમામ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ચોક્કસ નીતિ નિયમોનો હંમેશ આગ્રહ  ઉપનિષદ રાખે જ છે.તો અને તો જ ઉત્તમ પરિણામ મળે .યોગ,પ્રાણાયામનો પ્રારંભ કરવા પહેલાની પૂર્વશરતો વિષે અમૃતનાદ ઉપનિષદ સ્પષ્ટ છે. શરૂઆત સ્થળથી થાય.’ ભૂમિને સ્વચ્છ ,સમતળ અને સર્વદોષથી વિમુક્ત કરીને પછી જ પ્રારંભ કરવો’. भूमिभागे समे रम्ये सर्वदोषविवर्जिते । પદ્માસન,સ્વસ્તિકાસન કે ભદ્રાસનમાં ઉત્તરાભિમુખ બેસીને પ્રાણાયામ કરવાનું સૂચન છે. पद्मकं स्वस्तिकं वापि भद्रासनमथापि वा ।बद्ध्वा योगासनं सम्यगुत्तराभिमुखः स्थितः ॥

અને શરૂઆત કરવાની સૂચનામાં પણ પદ્ધતિની ઝીણામાં ઝીણી બાબત મંત્રમાં કહેવામાં આવી છે     ‘નાસિકાના જમણા છિદ્રને એક આંગળીથી બંધ કરી બીજાન ખુલ્લા છિદ્રથી વાયુ ખેંચી ,પછી બંનેય નાસિકા બંધ કરીને એ પ્રાણવાયુને ધારણ કરો.અને એ સમયે તેજ સ્વરૂપ શબ્દ ( ૐ કાર ) નું ચિંતન કરો..’ नासिकापुटमङ्गुल्या पिधायैकेन मारुतम् ।आकृष्य धारयेदग्निं शब्दमेवाभिचिन्तयेत् ॥ અને બહુવાર તેનું ઉચ્ચારણ કરતાં કરતાં રેચક ( વાયુ ધીરે ધીરે બહાર કાઢીને ) કરતી વખતે ચિત્તના મેલ ( વિકાર ) દૂર કરવા.  कुर्यादात्ममलच्युतिम् ॥ કરેલા નિયમિત પ્રાણાયામના તુરંત અને ઉત્તમ ફળ માટે કેટલીક આવશ્યક વાત કહી છે.स्थिरस्थायी विनिष्कम्पः સાધક સ્થિરતાપૂર્વક અને નિષ્કમ્પ ભાવથી બેસીને અભ્યાસ, પહેલેથી સુનિશ્ચિત્ત યોજના અનુસાર કરે તો તાડના વૃક્ષની જેમ થોડા જ સમયમાં ફળ મળે છે.. तालमात्राविनिष्कम्पो धारणायोजनं तथा ।

શ્રેષ્ઠત્તમ યોગાભ્યાસ પછીની ગતિ માટે અમૃતનાદ ઉપનિષદ આગળ કહે છે કે ‘વાયુના પ્રવેશનો માર્ગ હૃદય છે, એ દ્વારા જે પ્રાણ સુષુમ્ણાના માર્ગમાં પ્રવેશે છે.એનાથી ઉપર ઉર્ધ્વગમન કરવાથી સહુથી ઉપર મોક્ષનું દ્વાર, બ્રહ્મરંધ્ર છે.યોગીઓ તેને સૂર્યમંડળ રૂપમાં ઓળખે છે.’ हृद्द्वारं वायुद्वारं च मूर्धद्वारमतः परम् । मोक्षद्वारं बिलं चैव सुषिरं मण्डलं विदुः ॥

‘ કઠોર તપસ્યા તો હોવી જ જોઈએ.ભય ક્રોધ,આળસ,વધારે ઊંઘવું,વધારે જાગવું,વધારે ભોજન કરવું,અથવા તો બિલકુલ નિરાહાર રહેવું  વગેરે દુર્ગુણો યોગી હંમેશ છોડી દે છે ‘ એમ પણ એક મંત્રમાં ભાર મૂકે છે અને  ‘જો આ રીતે નિયમપૂર્વક જે કોઈ સાધક ઉત્તરોત્તર પ્રગતિ કરતો, નિયમિત અભ્યાસ કરે તો એને ત્રણ માસમાં જ જ્ઞાન પ્રાપ્તિ થઇ જાય તેમાં સંશય નથી.’ એવું વચન અમૃતનાદ ઉપનિષદ આપે છે.अनेन विधिना सम्यङ्नित्यमभ्यसतः क्रमात् । स्वयमुत्पद्यते ज्ञानं त्रिभिर्मासैर्न संशयः ॥ ‘ અને ચાર માસમાં દેવદર્શન ,પાંચ માસમાં દેવગણ સમાન સામર્થ્યવાન ,છ માસમાં પોતાની ઇચ્છાનુસાર નિઃસંદેહ કૈવલ્ય ( મોક્ષ ) ને મેળવવા સમર્થ બની જાય છે.’

 

 

चतुर्भिः पश्यते देवान्पञ्चभिस्तुल्यविक्रमः । इच्छयाप्नोति कैवल्यं षष्ठे मासि न संशयः ॥ આ તાકાત કેવળને કેવળ ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્ર સિવાય કોની પાસે હોઈ શકે ?

એ જ રીતે આગળના મંત્રોમાં ધારણાની પ્રક્રિયા આપીને અમૃતનાદ ઉપનિષદ કહે છે,’ આ રીતે પ્રણવની ધારણા દ્વારા પંચભૂતો પર પૂર્ણ અધિકાર પ્રાપ્ત કરે છે.’ વેદકાળના ગણિતની મજા તો જુઓ.પ્રાણવાયુના આશ્રયરૂપ શ્વાસ સાડી ત્રીસ આંગળ લાંબો છે  બાહ્ય પ્રાણમાં એક લાખ તેર હજાર છસો એંસી નિઃશ્વાસનું આવાગમન એક દિવસ અને રાત્રિમાં થાય છે. अशीतिश्च शतं चैव सहस्राणि त्रयोदश । लक्षश्चैकोननिःश्वास अहोरात्रप्रमाणतः ॥ અને તે શરીરના ક્યાં અંગમાં,ક્યાં રંગ કે સ્થિતિમાં રહે તે પણ અહીં બતાવાયું છે.જેમ કે લાલ રંગમાં મણિ સમાન रक्तवर्नो मणिप्रख्यः અને નાભિમાં તો ગાયના દૂધ જેવો શુભ્ર કાંતિયુક્ત છે. समानस्तु द्वयोर्मध्ये गोक्षीरधवलप्रभः ।

સાચા યોગીની ઉચ્ચત્તમ સ્થિતિથી અમૃતનાદ ઉપનિષદ પોતાની વિચારધારાનું સમાપન કરે છે. यस्येदं मण्डलं भित्वा मारुतो याति मूर्धनि । यत्र तत्र म्रियेद्वापि न स भूयोऽबिजायते । न स भूयोऽभिजायत इत्युपनिषत् ॥ જે શ્રેષ્ઠ યોગી કે સાધકનો પ્રાણ આ મંડળનું વેધન કરીને મસ્તકમાં પ્રવેશી જાય છે, તે પોતાના શરીરનો ગમે ત્યાઁ ત્યાગ કરી શકે છે અને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઇ જાય છે.આ ઉપનિષદનું રહસ્ય છે.’

વર્તમાન સમયમાં માનવ શરીર સ્વાસ્થ્ય માટે સારો એવો જાગ્રત થયો છે.પણ જયારે હજારો વર્ષ અગાઉ ઉપનિષદ યોગ પ્રાણાયામની મહત્તા અને પરિણામના પ્રમાણ આપે ત્યારે તેની શ્રદ્ધા ચોક્કસ બેવડાય જ. જન સામાન્યમાં એક ગ્રંથિ છે પ્રાચીનમાંથી ગ્રહણ કરવું ઘણું કઠણ છે પણ યોગ પ્રાણાયામ જેવી અતિ આવશ્યક વાતો સહજ સ્વીકારી વ્યક્તિમાત્ર જીવન ઉત્કર્ષની દિશામાં ચોક્કસ આગળ વધી શકે.


શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com