દૂરથી ઉડી આવતાં પંખીનાં ટોળાં,
ફફડાવી પાંખો કરતાં યાદોના મેળા;
ચાંચોથી ખોતરતાં મનનાં સૌ જાળાં,
જાળેથી ખરતા જૂનાં તાણાવાણા….

ઉપસી છબી માની ફેરવતી પાનાં,
લખતી રહેતી સદા રામનાં ગાણાં;
કહેતી’તી “વેરજો બેન,પંખીને દાણા,
ને જાઓ જો દેશ, તો ગાયોને પૂળા..

અવગણજો પડે જો મનને કો’ છાલાં,
વાદ-વિવાદ ના કરશો કોઈ ઠાલા;
સંસાર તો  જાદુગરની છે માયા,
અહીંયા ના કોઈને કોઈની છે છાયા….”
નિસ્પૃહી માતાની સ્મૃતિનાં ટોળાં,
નીતારે પાંપણથી આંસુની ધારા;

અર્પુ શું અંજલિ લઈ અક્ષરની માળા,
શબ્દો પડે જ્યાં ઉણા ને આલા….
ગીચ ઝાડીથી ઉડતાં  પંખીનાં ટોળાં,
ફફડાવી પાંખો રચે મમતાના મેળા….

—-દેવિકા ધ્રુવ

સુશ્રી દેવિકાબેન ઘ્રુવનાં સંપર્ક સૂત્રો
ઇ-મેલ ddhruva1948@yahoo.com