દૂરથી ઉડી આવતાં પંખીનાં ટોળાં,
ફફડાવી પાંખો કરતાં યાદોના મેળા;
ચાંચોથી ખોતરતાં મનનાં સૌ જાળાં,
જાળેથી ખરતા જૂનાં તાણાવાણા….
ઉપસી છબી માની ફેરવતી પાનાં,
લખતી રહેતી સદા રામનાં ગાણાં;
કહેતી’તી “વેરજો બેન,પંખીને દાણા,
ને જાઓ જો દેશ, તો ગાયોને પૂળા..
અવગણજો પડે જો મનને કો’ છાલાં,
વાદ-વિવાદ ના કરશો કોઈ ઠાલા;
સંસાર તો જાદુગરની છે માયા,
અહીંયા ના કોઈને કોઈની છે છાયા….”
નિસ્પૃહી માતાની સ્મૃતિનાં ટોળાં,
નીતારે પાંપણથી આંસુની ધારા;
અર્પુ શું અંજલિ લઈ અક્ષરની માળા,
શબ્દો પડે જ્યાં ઉણા ને આલા….
ગીચ ઝાડીથી ઉડતાં પંખીનાં ટોળાં,
ફફડાવી પાંખો રચે મમતાના મેળા….
—-દેવિકા ધ્રુવ