નિરંજન મહેતા
૧૯૫७ની ફિલ્મ ‘નાગમણી’નુ આ ગીત રૂપક ગીત તરીકે કહી શકાય. પિંજરાના પંખીને ઉદ્દેશીને ગવાતું આ ગીત હકીકતમાં મનુષ્યના આત્માને સંબોધીને કહેવાયું છે.
पिंजरे के पंछी रे तेरा दरद ना जाने कोई
बाहर से खामोश रहे तू भीतर भीतर रोये
कह ना सका तू अपनी कहानी
तेरी भी पंछी क्या जिंदगानी रे
विधि ने तेरी कथा लिखी
आंसू में कलम दुबोय
चुपके चुपके रोने वाले
रखना छुपाके दिल के छाले रे
ये पत्थर का देश है पगले
कोई ना तेरा होय
આ ગીત પાર્શ્વગીત તરીકે મુકાયું છે જે ૧૯૪૭ના ભાગલાના સંદર્ભમાં હોય તેમ જણાય છે. ફિલ્મના કલાકારો છે નિરૂપા રોય અને ત્રિલોક કપૂર. શબ્દો અને સ્વર છે પ્રદીપજીના અને સંગીત છે અવિનાશ વ્યાસનું.
આપણા જીવનમાં આપણે ઘણા ચડઉતાર અનુભવીએ છીએ. કેટલીક વખત પરિસ્થિતિવશ આપણે મૂંગે મોઢે બધું સહન કરી લઈએ છીએ. તેવા સમયે આપણો અંતરાત્મા અંદરથી દુભાતો હોય છે. આજ વાતને લઈને કવિ અંતરાત્માને સંબોધીને કહે છે કે તું એવી રીતે કેદ છે કે તારૂ દર્દ કોઈ નહિ સમજી શકે. ભલે તું તારી વ્યથા બહાર દર્શાવી નથી શકતો પણ અંદરને અંદર તું જરૂર રૂદન કરતો હશે.
તારી કરૂણ કહાની તું કહી નથી શકતો એટલે તારૂ જીવન પણ વિચલિત છે. વિધાતાએ તારી કેવી કઠીનાઈ સર્જી છે કે જાણે તારા વિધિના લેખ વિધાતાએ આંસુભરી કલમે લખ્યા છે.
પણ તારી પાસે બીજો કોઈ ચારો નથી એટલે તું ચુપકે ચુપકે રોઈને બેસી રહેશે અને તારા દિલના ઘા પણ છુપાવી રાખશે. ધ્યાન રહે કે અહી બધા પત્થરદિલ છે એટલે તારા દુઃખમાં કોઈ ભાગીદાર નહિ બને અને તારી વેદના તારે સ્વયં સહેવી પડશે.
આમ કવિ જીવનની વાસ્તવિકતાને સુંદર રીતે દર્શાવે છે.
Niranjan Mehta