નીતિન વ્યાસ

New Theaters, Calcutta, 1931

“हम चले वतन की और
खींच रहा है कोई हमको
बांधके प्रेम की दौर
हम चले वतन की और।”

આ ગીતનાં શબ્દો વાંચતા આપ કદાચ આપના અતિતમાં ખોવાઈ જશો અને યાદ આવશે પંકજ મલિક.

બરાબર છે મને પણ આવુંજ થયેલું. બંદિશ શ્રી પંકજ મલિકની છે. પંકજબાબુ પોતે જેવા સરસ સંગીતકાર એવાજ ઉમદા ગાયક. પણ આ દિલદાર રચનાકારે પોતાની શ્રેષ્ઠ ધૂન બીજા ગાયકો પાસે ગવરાવી.

ફિલ્મ હતી ન્યુ થીયેટર્સ નિર્મિત, શ્રી શરદબાબુના ઉપન્યાસ પર અધારીત,  સાલ ૧૯૪૩માં પ્રદર્શિત થયેલી “કાશીનાથ” . દિર્ગ્દર્શક શ્રી નીતિન બોઝ, ગીતકાર પંડિત ભૂષણ, સંગીતકાર શ્રી પંકજ મલિક અને ગાયક શ્રી આસીત બરન

૧૦ ફેબ્રુઆરી ૧૯૩૧, બંગાળી ગ્રહસ્થ શ્રી બદ્રીનાથ સરકારે કલકત્તામાં ફિલ્મ કંપની અને સ્ટુડિયો શરૂ કર્યો અને નામ આપ્યું “ન્યુ થીયેટર્સ” .ગઈ સદીના ચાલીસમાં દાયકામાં કુંદનલાલ સાયગલ ના સ્વર આર. સી. બોરાલ અને પંકજ મલિક ની બંદિશ માં ગવાયેલા ગીતો સાથેની ફિલ્મોએ સારાએ ભારતમાં ધૂમ મચાવી. આ “ન્યુ થીયેટર્સ” નો સુવર્ણકાળ કહી શકાય.

એક પછી એક ૨૬,જેટલી ફિલ્મો અહીં કર્યા પછી કુંદનલાલ સાયગલે “ન્યુ થીયેટર્સ” અને કલકત્તા છોડી મુંબઈ જવાનો નિર્ણય કર્યો, સાલ હતી  ૧૯૪૦.

“ન્યુ થીયેટર્સ” કંપની માં એક સન્નાટો છવાઈ ગયો. દેખાવ કંઈક  ઠીક હોય અને સારુ ગાઈ શકે તેવા કલાકાર ની શોધ કરવી શરૂ કરી.

આસીત બરન : જવાબદારી સાથે આર્થિક મુશ્કેલીમાં સપડાયેલા એક મધ્યમવર્ગનાં કુટુંબ માંથી આવતો આ યુવાન ભણતર છોડી દિવસનાં ભાગમાં  ટેલિગ્રાફ ઓફિસમાં નોકરી કરે. રાત્રે કોઈ સંગીત સંસ્થામાં તબલા વગાડવા અને શીખવાડવા જાય. થોડા સમય પછી ઓલ ઇન્ડિયા રેડીઓનાં કલકત્તાના રેડીઓ સ્ટેશન પર parttime નોકરી મળી. ગાવાનો બહુ શોખ. એટલે પેલી સંગીત સંસ્થાના કાર્યક્રમો માં ગાવા જાય. આવા એક કાર્યક્રમમાં શ્રી પહાડી સાન્યાલ, જે તે સમયે ન્યુ થીયેટર્સ સાથે સંકળાયેલા તે હાજર હતા. તે સમયે દિર્ગદર્શક શ્રી હેમચંદ્ર ચુન્દર એક બંગાળી ફિલ્મ બનાવી રહ્યા હતા, “પ્રતિશ્રુતિ”. તેમાં આસીત બરનને મુખ્ય  ભૂમિકા મળી. આ ફિલ્મ કમાણીની  દૃષ્ટિએ ઘણી સફળ રહી. તે સફળતાથી પ્રેરાઈ તેનું હિન્દી રૂપાંતર “સૌગંધ” બનાવવામાં આવ્યું. શ્રી રાયચંદ બોરાલની સંગીત રચના અને આસિત બરનનાં અવાજમાં ગવાયેલું આ ગીત ખૂબ જ લોકપ્રિય થયું. શબ્દ રચના પંડિત નટવર શ્યામ:

“અબ આયી બસંત બહાર” 78RPM ની આ ગ્રામોફોન રેકોર્ડ આપણા ઘણાં ઘરોમાં હતી.

પાશ્વ ગાયક તરીકે શરૂઆત : સાલ હતી ૧૯૪૨, ન્યુ થીયેટર્સ ની ફિલ્મ “જવાબ”, કાનન દેવી નાં સુમધુર સ્વરમાં એક સદાબહાર  ગીત, “એ ચાંદ છૂપ ના જાના” હજી પણ કાને પડે બે ઘડી મન ને આનંદ થાય. આજ ફિલ્મ માં એક સરસ દ્વન્દ ગીત હતું “દૂર દેશ કા રહીને વાલા આયા” કમલ દાસ ગુપ્તાની બંદિશ અને કાનન દેવી સાથે એક નવો ગાયક આસીત બરન. “જવાબ” ફિલ્મ માં મુખ્ય ભૂમિકામાં કાનન દેવી સામે પ્રમથેશ બરુઆ હતા. આસીત બરન  પહેલી વખત એક પ્લેબેક સિંગર તરીકે ન્યુ થીયેટર્સમાં જોડાયા:

૧૯૪3 ની સાલ માં ન્યુ થીયેટર્સ ની ફિલ્મ આવી “વાપસ” . શ્રી હેમચંદ્ર ચુનર નું દિગ્દર્શન અને શ્રી રાયચંદ બોરાલ નું સંગીત, કલાકારો આસીત બરન, ભારતી દેવી, ધીરજ ભટ્ટાચાર્ય અને લતિકા બેનરજી, આ ભારતી દેવી આસીત બરન કરતા ઉંમર માં બાર વર્ષ નાના પણ એક મહોલ્લા માં રહેતા અને બંને ના કુટુંબોને પણ સારી મિત્રતા . તેઓ આસીત બરન ને “કાલુ” કહી બોલવતા. એટલે સાથી કલાકારો અને કસબીઓ માટે આસીત બરન એટલે  “કાલુ”. ઘણી ફિલ્મો સાથે કરી અને જિંદગીભર માનભરી કરીબી દોસ્તારી નિભાવી.

ફિલ્મ  “વાપસ” પંડિત ભૂષણ ની ગીત રચના, રાયચંદજીનું સંગીત, ગાયક શ્રી આસીત બરન

“હમ કોચવાન પ્યારે”

“તુમ ને મુજસે પ્રેમ જતાકર દુનિયા સે બેગાના કિયા”

“જીવન હૈ બેકાર બીના તુમ્હારે” ગાયકો  બિનિતા બોઝ અને આસીત બરન

“ભૂલ ન જાના આજ કી બાતેં”

“વાપસ” ની સફળતા પછી આવી “કાશીનાથ”

“હમ ચાલે વતન કી ઔર”: સાથે બીજા લોકપ્રિય થયેલા ગીતો આ ફિલ્મમાં હતા.

“આયી રે આયી રે મેરી મેં કૂકે કોયલિયા બાવરી બસંત આયી રે ” આ ગીત સાથે ઘણી આપણા વડીલોની યાદો પણ તાજી થાય. ગઈ પેઢીનાં ઘણા ને આ ગીત મોઢે હતું. આજે પણ સાંભળવું ગમે એવું આ ગીત ભારતી દેવી અને આસીત બરન નાં અવાજમાં. સંગીતકાર પંકજ મલીક વધુ એક લોકપ્રિય બંદિશ:

“કાશીનાથ” ના આ ગીતમાં  આસીત બરન નો સાથ આપ્યો છે સુનંદા બેનરજીએ: “લો શુરુ હુઈ ઇસ બાર હમ મેં તુમ મેં તકરાર”

ન્યુ  થીયેટર્સ ના નેજા હેઠળ 1942માં “સૌગંધ” આવી મુખ્ય ભૂમિકામાં પહાડી સન્યાલ, ભારતી દેવી અને આસીત  બરન હતા. નિર્દેશન હેમચંદ્ર ચુનર અને સંગીત શ્રી, આર. સી. બોરાલ નું હતું. પ્રસ્તુત ગીતોમાં આસીત બરન નો અવાજ છે.

“રંગ ગયી આજ મન કી

https://youtu.be/XTK0A2ay4WA
“રાજા બેટી”

https://youtu.be/5krE7kiM-PI

સાલ ૧૯૪૫માં આવી ફિલ્મ “વસીયતનામા” સૌમુયેન્દ્ર મુખરજી નાં દિર્ગદર્શનમાં બનેલી આ ફિલ્મના મુખ્ય અહિન્દ્ર ચૌધરી માટે કંઠ આપ્યો શ્રી આસીત બરન અને સહગાયક ભારતી દેવી

ફિલ્મ “મંઝૂર” માં સંગીત શ્રી પંકજ મલિક નું હતું. કલાકારો હતા આસીત બરન, ભારતી દેવી, ઉત્પલા સેન અને એક વિશેષ ભૂમિકામાં શ્રી છબી બિસ્વાસ હતા. પંડિત ભૂષણ ની શબ્દ રચના અને  આસીત બરન નો અવાજ:

“હૃદયમેં ફૂલ રહે હૈં ફૂલ”

“રીમઝીમ બરસે પાની” ઈલા ઘોષ અને આસીત બરન ફિલ્મ “મંઝૂર” ,૧૯૪9

“મતવાલે નૈનો સે” ગાયક આસીત બરન

૧૯૫૦ ની સાલમાં બીજી ફિલ્મ આવી “રૂપ કહાની”, સંગીતકાર પંકજ મલીક, ગાયક ઉત્પલા સેન અને આસીત બરન

૧૯૫૧ માં એક ફિલ્મ આવી “આઝાદી કે બાદ:” તેમાં એક ભૂમિકામાં આસીત બરન જોવા મળેલા. તે ફિલ્મ નું એક ગીત “લૂંટતા હૈ વતન જલતા હૈ ચમન” ગાયક શ્રી આસીત બરન

શ્રી શરદબાબુના ઉપન્યાસ “પરિણીતા” ઉપર આધારિત ફિલ્મ ૧૯૫૩ માં બિમલ રોય નાં દિર્ગ્દર્શન માં બની. નિર્માતા હતા અશોક કુમાર. મુખ્ય પાત્રો શેખર ની ભૂમિકામાં અશોક કુમાર, લલિતાના પાત્રમાં મીના કુમારી, અને ત્રીજા  મહત્વ રોલમાં આસીત બરન હતા. સંગીત શ્રી મન્ના ડે અને શ્રી અરુણ મુખરજી નું હતું. શરદબાબુની વાર્તા  વફાદાર રહીને શ્રી બિમલ રોયે પટકથા લખેલી. અશોક કુમાર પ્રોડક્શન ની આ ફિલ્મ બહુ સફળ રહી. ઘણા ફિલ્મ વિવેચકો ના મત પ્રમાણે મુખ્ય નાયક શેખર ની ભૂમિકામાં આસીત બરન વધારે યોગ્ય હતો.

આ ફિલ્મ નું એક ગીત “તૂટા હૈ નાતા દિલ કા” આસીત બરન નાં સ્વરમાં

આસીત બરન ફિલ્મમાં એક પાશ્વ ગાયક તરીકે જોડાયા. ગળાની મીઠાશ સાથે સોહામણું વ્યક્તિત્વ. મૂખ્ય ભૂમિકા માં ન્યુ થિએટર્સની ફિલ્મોમાં આવ્યા. પછી ચરિત્ર અભિનેતા હિન્દી અને બંગાળી ફિલ્મોમાં જોવા મળ્યા. સાલ  ૧૯૭૭ માં નિર્દેશક તપન સિંહ એ એક ફિલ્મ બનાવી, “હાર્મોનિયમ” સમય સાથે વિલીન થતાજતા રજવાડા ની વાત આ ફિલ્મ માં હતી. અનિલ ચેટર્જી, અરૂંધતી રોય, સમિત ભાંજા, કાલી બેનરજી, છાયા દેવી, આસીત બરન જેવા પીઢ કલાકારો આ ફિલ્મ હતા. દેવામાં ડૂબેલ રાજકુટુંબની એક દીકરી હવે રહી છે ખખડધજ મહેલ માંથી બધુજ હરાજ થાય છે. ફક્ત બાકી રહે છે એક હાર્મોનિયમ.

હાર્મોનિયમ સાથે એ રાજ્યની છેલ્લી દીકરીની એક લાગણી ભરેલી યાદ છે. સંગીતના શોખીન પિતા એ દીકરીને સંગીત શીખડાવવા એ હાર્મોનિયમ લાવેલા.

અહીં એ વયસ્ક રાજકુંવરીની ભૂમિકામાં અરૂંધતી રોય જોવા મળેછે જયારે પિતાની ભૂમિકા માં આસીત બરન: (ભાષા બંગાળી)

આસીત બરન પાશ્વ ગાયક, સહ અભિનેતા, મુખ્ય અભિનેતા, ચરિત્ર કલાકાર તરીકે લગભગ ૪૦ ફિલ્મોમાં આવ્યા અને ૭૦ જેટલાં રેકોર્ડ થયેલાં બંગાળી અને હિન્દી ગીતો ની માહિતી ઇન્ટરનેટની જુદી જુદી વેબસાઈટ ઉપરથી મળેછે. ૧૯નવેમ્બર ૧૯૧૩ નાં રોજ જન્મેલા શ્રી આસીત બરન ૨૭ નવેમ્બર ૧૯૮૫ માં અવસાન પામ્યા. તેમના કુટુંબ વિષેની  માહિતી કોઈ માધ્યમો પરથી મળી નથી. તેમનાં સાત આઠ દાયકા જુના ગીતો આજે પણ સાંભળવા ગમે છે,

(અસ્તુ)


શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.