{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}
પિયૂષ એમ પંડ્યા
મંગળવાર સને ૧૯૮૭ના ઓક્ટોબર મહિનાની ૧૩મી તારીખની ગમગીન સવારે તબિયત નાદુરસ્ત હોવાથી કિશોર કુમારે તે દિવસનું રેકોર્ડીંગ રદ કરાવ્યું હતું. બપોર સુધીમાં છાતીમાં દુખાવો થવા લાગ્યો પણ તેમણે રાબેતા એની અવગણના કર્યે રાખી. આનું પરિણામ અજુગતું આવ્યું. થોડા કલાકોમાં, બરાબર ચાર વાગીને પાંત્રીશ મિનિટે કિશોર કુમારના જીવનનો ઝળહળતો દીપ અચાનક જ બૂઝાઈ ગયો. આમ ચિરનિંદ્રામાં સરી જવાની તેમની ઉમર નહોતી, તે માત્ર ૫૮ વર્ષના હતા.
કે એલ સાયગલના આકંઠ ચાહક એવા કિશોર કુમાર કારકીર્દિના મધ્યાહ્ને જ નિવૃત્તિ લઈ, પોતાના વતન ખંડવાના શાંત વાતાવરણમાં આરામની જીંદગી વિતાવવાનું વિચારી રહ્યા હતા. પણ એ પહેલાં તો તેમણે ક્યારેય નહીં ઈચ્છી હોય તેવી શોકમય નિ:શબ્દતાના ઓળા તેમના જૂહુ ખાતે આવેલા ‘ગૌરી કૂંજ’ બંગલા ઉપર ઉતરી આવ્યા. સાંજ ઢળ્યે શોકગ્રસ્ત ચહેરાઓથી ભરાયેલા તેમના ઘરમાં મારું ધ્યાન તેમના ચહેરા ઉપરના પરમ શાંતિના ભાવ ઉપર પડ્યું. તે સમયે મારા મનમાં સહેજ વિચિત્ર લાગણી ઉભરી આવી કે કદાચ કિશોર કુમાર તેમની ટેવ મુજબ ટીખળ કરી રહ્યા હતા. અચાનક જ તે બેઠા થઈને ‘હમ સે હૈ જીંદા વફા ઔર હમીં સે હૈ તેરી મેહફીલ જવાં, હમ જબ ન હોંગે તો રો રો કે દુનિયા ઢૂંઢેંગી મેરે નિશાં’ ગાવા લાગશે!
કિશોર કુમારે રાહુલદેવ બર્મન માટે પોતાનું છેલ્લું અવિસ્મરણીય ગીત ગાયાને ૧૯૮૭માં એક દાયકો વિતી ગયો હતો. તે ગીત હતું ૧૯૭૬ની ફિલ્મ ‘મહેબૂબા’નું મેરે નૈના સાવન ભાદોં. રાહુલદેવ કિશોરની ગાયક તરીકેની ક્ષમતાને પહેલેથી જ જાણતા હતા.
તેમણે અગાઉ પણ કિશોર માટે ચિનગારી કોઈ ભડકે (અમર પ્રેમ, ૧૯૭૧), કરવટેં બદલતે રહે સારી રાત હમ (લતા મંગેશકર સાથેનું યુગલગીત, ૧૯૭૪ની ફિલ્મ ‘આપ કી કસમ’) અને લતા મંગેશકર સાથેનું ૧૯૭૫ની ફિલ્મ આંધીનું યુગલગીત તેરે બિના જીંદગી સે કોઈ શિકવા તો નહીં જેવાં ચિરકાલિન ગીતો બનાવ્યાં હતાં.
કિશોરે તેમની કારકીર્દિના શરૂઆતના તબક્કામાં અનિલ બિશ્વાસના નિર્દેશનમાં ફિલ્મ ‘ફરેબ’(૧૯૫૩)નું યાદગાર યુગલગીત આ મહોબત કી બસ્તી બસાયેંગે હમ ગાયું હતું. તેમણે સંગીતની કશી જ તાલિમ લીધી નહોતી. પણ કિશોરના અવાજમાં રહેલી અભિવ્યક્તિની ક્ષમતામાં કોઈ ફેર પડ્યો નહીં. આ કારણથી તેમનાં ગાયેલાં ગીતો ચિરસ્મરણીય બની રહ્યાં. આ જ કારણથી કેટલાક સંગીતકારો તેમને માટેનાં ગીતો બનાવતી વખતે પોતાની સર્જકતાનાં શીખરો સર કરી શક્યા. કેટલાંક ઉદાહરણો જોઈએ ….
સચીનદેવ બર્મને ૧૯૫૦ની ફિલ્મ ‘પ્યાર’ માટે બનાવેલું કિશોર અને ગીતા દત્તનું યુગલગીત ઓ બેવફા યે તો બતા,
૧૯૫૨માં ફિલ્મ ‘કાફિલા’ માટે હુશ્નલાલ-ભગતરામની જોડીના નિર્દેશનમાં બનેલું વોહ મેરી તરફ યું ચલે આ રહે હૈ,
અનિલ બિશ્વાસે ફિલ્મ ‘ફરેબ’ (૧૯૫૩) માટે બનાવેલું હુશ્ન ભી હૈ ઉદાસ ઉદાસ,
સજ્જાદ હુસેને બનાવેલું ફિલ્મ ‘રુખસાના’ (૧૯૫૫)નું આશા ભોંસલે સાથેનું યુગલગીત તેરે જહાં સે ચલ દીયે,
૧૯૫૬ની ફિલ્મ ‘નયા અંદાઝ’ માટે ઓ. પી. નૈયરના નિર્દેશનમાં શમશાદ બેગમ સાથે કિશોર કુમારે ગાયેલું મેરી નીંદોં મેં તુમ મેરે ખ્વાબોં મેં તુમ,
‘મિ. એક્સ ઈન બોમ્બે’ (૧૯૬૪)નું લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સ્વરબદ્ધ કરેલું મેરે મહેબૂબ કયામત હોગી,
હેમંતકુમારનું બનાવેલું વોહ શામ કુછ અજીબ થી (ફિલ્મ ‘ખામોશી’),
જીંદગી કા સફર હૈ યે કૈસા સફર (‘સફર’ – ૧૯૭૦, કલ્યાણજી – આણંદજી)
આ જ કિશોરકુમારે કસૂર આપ કા હુજૂર આપ કા મેરા નામ લીજીયે ના મેરે બાપ કા (ફિલ્મ ‘બહાર’, ૧૯૫૧) જેવાં અગણિત ધમાલમસ્તીવાળાં ગીતો ગાયાં. આવાં ગીતોની લોકપ્રિયતા થકી કિશોર કુમારની છાપ એક બહુમુખી પ્રતિભાવાન ગાયક તરીકે ઉપસી. ૧૯૬૮ની ફિલ્મ ‘પડોસન’ તેમની કોમેડીયન અભિનેતા તેમ જ ગાયક (મેરે સામનેવાલી ખીડકી મેં) તરીકેની પ્રતિભાને બિલકુલ વાજબી રીતે પ્રસ્થાપિત કરવા માટેનું સુયોગ્ય ઉદાહરણ છે. તેમની બહુમુખિતાએ કિશોરને સંપત્તિવાન બનાવ્યા પણ તેમની આંતરીક એષણા અસંતુષ્ટ રહી ગઈ.
છેવટે તો કિશોરની આ છાપ તેમની ઉપર સવાર થઈ ગઈ. ગીતોમાં તેમણે તાણેલા રાગડા અને પરદા ઉપર કરેલી વિદૂષકબાજી ઉપર કટાક્ષ કરતાં સંગીતકાર સજ્જાદ હુસેને કિશોરનું નામ શોર કુમાર રાખ્યું હતું. તેમનાં ગાયેલાં ધમાલમસ્તીભર્યાં ગીતોની લોકપ્રિયતા અને પછીથી ‘યોડેલીંગ સ્ટાર તરીકે નામ અને દામ મળ્યાં હોવા છતાં કિશોરકુમારને તેમનું ગાયેલું ફિલ્મ ‘રીમઝીમ’(૧૯૫૧)નું એક કરૂણ ગીત ઝગમગ ઝગમગ કરતા નીકલા ચાંદ પૂનમ કા પ્યારા ખુબ જ પ્રિય હતું. સંગીતના ખરા ચાહકો પણ તેમનાં ગાયેલાં અય મેરી ટોપી પલટ કે આ (ફન્ટૂશ, ૧૯૫૬) અને અરે યાર મેરી તુમ ભી હો ગજબ (તીન દેવીયાં, ૧૯૬૫) જેવાં હલકાં ફુલકાં ગીતો કરતાં અંતરને વલોવી નાખે તેવાં મહોબત કા છોટા સા ઈક આશીયાના (પ્યાર, ૧૯૫૦), ફિલ્મ ‘ગેમ્બલર’(૧૯૭૧)નું દિલ આજ શાયર હૈ ગમ આજ નગ્મા હૈ અને બડી સૂની સૂની હૈ (મીલી, ૧૯૭૫) જેવાં ગીતો વડે જ પ્રભાવિત થતા રહ્યા છે.
અભિનેતા હોવાના નાતે કે એલ સાયગલે પણ જો નૌકરી દિલા દે બી એ બનાનેવાલે (કરોડપતિ, ૧૯૩૬) અનેએક રાજા કા બેટા લે કર ઉડને વાલા ઘોડા (પ્રેસીડેન્ટ, ૧૯૩૭) જેવાં હળવાં ગીતો ગાયાં છે. પણ તેમની ઓળખ તો બાબુલ મોરા (સ્ટ્રીટ સીંગર, ૧૯૩૮), પ્રીત મેં હૈ જીવન જોખોન (દુશ્મન, ૧૯૩૯) અને અય કાતિબ એ તકાદીર (માય સીસ્ટર) જેવાં લાગણીભીનાં ગીતો થકી જ બની રહી છે.
મહમદ રફીએ તો ક્યારેય અભિનય નથી કર્યો, તેમ છતાંયે વ્યવસાયિક તકાદા હેઠળ તેમણે ચાહે કોઈ મુઝે જંગલી કહે (જંગલી, ૧૯૬૧) અને લાલ છડી મેદાન ખડી (જાનવર, ૧૯૬૫) જેવાં ઉછાંછળાવેડાથી ભરેલાં ગીતો ગાયાં હતાં. જો કે તેમની અસલી પહેચાન મેરી કહાની ભૂલનેવાલે (દીદાર, ૧૯૫૧), ઓ દુનીયા કે રખવાલે (બૈજુ બાવરા, ૧૯૫૨) અને તકદીર કા ફસાના (સેહરા, ૧૯૬૩) જેવાં ઘેરી લાગણી વ્યક્ત કરતાં ગીતો વડે ઉભી થઈ છે. આવું જ કંઈક મુકેશના કિસ્સામાં પણ બન્યું છે. તેઓની માહીરિયત દોસ્ત દોસ્ત ના રહા (સંગમ, ૧૯૬૪) જેવાં ભાવપ્રચૂર ગીતો ગાવામાં હતી પણ તેમણે ડમ ડમ ડીગા ડીગા (છલીયા, ૧૯૬૦) જેવી હલકાં ફૂલકાં ગીતો ગાવાં પડ્યાં હતાં.
મારું માનવું છે કે કિશોર કુમારે અભિનય કરવા તરફ વળવા જેવું નહોતું. લોકો તેમને ઉછળકુદ કરતા જોવા માંગતા હતા તેથી તેમણે જાતે જ બનાવેલું ગીત મૈં હૂં ઝૂમઝૂમ ઝૂમઝૂમ ઝૂમરૂ ગળું ફાડી ફાડીને ગાયું. એ જાણતા હતા કે દુનીયા મૂર્ખાઓથી ભરેલી છે અને તેથી તે પોતે પણ એક મૂર્ખનો ચહેરો ઓઢીને રહ્યા. તેમના ‘કોને પડી છે’ પ્રકારના વ્યવહાર (કુછ તો લોગ કહેંગે લોગોં કા કામ હૈ કહેના)ના પરિણામે લોકોએ તેમનું અસલી હીર ઓળખ્યું જ નહીં. એક વિદૂષકની માફક તેમનો મૂળ ચહેરો એક મોહરા પાછળ છૂપાઈ ને રહી ગયો.
સાયગલની જેમ જ, કિશોરકુમારે તેમનું શ્રેષ્ઠ પ્રદાન દુખી મન મેરે સૂન મેરા કહના (ફન્ટૂશ, ૧૯૫૬) અને મેરા જીવન કોરા કાગજ (કોરા કાગજ, ૧૯૭૪) જેવાં લાગણીપ્રચૂર ગીતો માટે કર્યું છે. કલ્યાણજી-આણંદજીના નિર્દેશનમાં જીવન સે ભરી તેરી આંખેં (સફર, ૧૯૭૦) અને મેરી પ્યારી બહનીયાં બનેગી દુલ્હનીયાં (સચ્ચા જૂઠા, ૧૯૭૦) જેવાં કેટલાંક ઉત્કૃષ્ટ ગીતો ગાયા પછી એક વાર કિશોરે કલ્યાણજીને પૂછેલું કે હવે કેમ તેઓ આવી ભાવુક તરજો કેમ નથી બનાવતા! કલ્યાણજીનું કહેવું હતું કે ૧૯૮૦ના અરસામાં લોકોની પસંદગી જાણવી એટલી અઘરી બની ગઈ હતી કે કેવી તરજો બનાવવી એ બાબતે ખુદ પોતે જ દ્વીધામાં રહેતા હતા. આવી પસંદગી ધરાવતા લોકોને હતાશ કરી દેવાનું કિશોરને ગમ્યું હોત પણ કરુણતા એ હતી કે કેવળ વ્યવસાયિક કારણોસર તે એવું કરી ન શક્યા.
નોંધ :
– તસવીરો નેટ પરથી અને ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લીધેલી છે. તેનો કોઈ જ વ્યવસાયિક ઉપયોગ નહીં કરવામા આવે.
– મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
This is a nice article with links of some of less known songs. Thank you.
LikeLike