દીપક ધોળકિયા
આપણા ઇતિહાસમાં ૧૮૯૯માં બિરસા મુંડાના બળવો બહુ મહત્ત્વનો હતો. નોંધવા જેવી વાત એ છે કે ૧૮૫૭ પછી ઇંગ્લેંડે સીધી જ સત્તા સંભાળી લીધી હતી અને ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના પણ થઈ ગઈ હતી. રેલવેનો સારો વિકાસ થઈ ગયો હતો. આદિવાસી વિસ્તારોમાં મિશનરીઓ ઘૂસી ગયા હતા અને આદિવાસીઓ માટે એમણે સ્કૂલો ખોલી હતી અને વટાળ પ્રવૃત્તિ જોરમાં હતી. સરકાર પણ મિશનરીઓને નાણાં અને રક્ષણ આપતી હતી. આ સંયોગોમાં બિરસા મુંડાએ આદિવાસીઓને એકઠા કર્યા, એમને સ્વમાનના પાઠ શીખવ્યા અને ઉલગુલાન માટે તૈયાર કર્યા. ઉલગુલાન મુંડારી ભાષાનો શબ્દ છે અને એનો અર્થ સંઘર્ષ કે વિદ્રોહ એવો થાય છે.
૧૮૭૫ની ૧૫મી નવેમ્બરે આજના ઝારખંડના ખૂંટી ગામે થયો. બાળપણથી એમની બુદ્ધિબળ દેખાવા લાગ્યું હતું. પણ માબાપ મજૂરી માટે બીજે ગામ જતાં છ વર્ષના બિરસાને મામાને ઘરે રહેવું પડ્યું. તે પછી માશી પરણી તે એને પોતાની સાથે ચાઇબાસા લઈ ગઈ. ચાઈબાસામાં એને મિશનરી સ્કૂલમાં દાખલ કરી દેવાયો. મિશનરીઓએ દસ વર્ષના આ બાળકની પ્રતિભાને પિછાણી અને એને ખ્રિસ્તી બનાવી દીધો. એ હવે ડેવિડના નામે ઓળખાવા લાગ્યો. પણ વર્ગમાં એક પાદરી મુંડાઓ માટે ખરાબ બોલ્યો ત્યારે બિરસા વર્ગ છોડીને બહાર નીકળી ગયો અને સ્કૂલના બધા શિક્ષક પાદરીઓને ખૂબ ભાંડ્યા. એને કહ્યું, “સાહેબ સાહેબ એક ટોપી” એટલે કે સરકારી અફસર હોય કે પાદરી બધા સરખા. આના પછી એને સ્કૂલમાં તો પાછા લેવાનો સવાલ જ નહોતો.
બિરસાએ ખ્રિસ્તી ધર્મ છોડી દીધો અને પોતાના ‘સરના’ ધર્મમાં પાછો આવ્યો.
૧૮૯૩–૯૪માં અંગ્રેજ સરકારે જંગલોની વચ્ચે આવેલાં ગામો, ખેતીની જમીન અને પડતર જમીનની હદબંધી કરી દીધી. એની બહારનાં જંગલોમાં સરકારે લોકોના હકદાવા પર નિયંત્રણો મૂકવાનું શરૂ કરી દીધું. મુંડાઓએ અરજીઓ કરી, છ ગામોના લોકો એકઠા થયા અને સરકાર સમક્ષ માગણીઓ મૂકી કે જંગલ પર એમનો પેઢી-દર-પેઢીનો અધિકાર છે પણ સરકારે ન માન્યું. બિરસાનું વ્યક્તિત્વ આકર્ષક હતું; છટાદાર ભાષણો કરતો એટલે આદિવાસીઓ એની પાછળ એકઠા થવા લાગ્યા અને એ આંદોલનનો મુખ્ય સૂત્રધાર બની ગયો.
તે દરમિયાન એ એક વૈષ્ણવ સાધુના સંપર્કમાં આવ્યો અને હિન્દુ ધર્મથી પરિચિત થયો. તુલસીમાતા અને વિષ્ણુ ભગવાનનો ભક્ત પણ બન્યો અને જનોઈ ધારણ કરતો થયો. એક કથા એવી છે કે વિષ્ણુ ભગવાન એને સપનામાં આવ્યા અને એને રાજ કરવાનો આદેશ આપ્યો. બિરસાએ પોતાને ભગવાને મોકલેલો દૂત જાહેર કર્યો અને કહ્યું કે હવે અંગ્રેજી રાજ ગયું અને મુંડા રાજ પાછું આવ્યું. મુંડાઓ એને ’ધરતી અબા’ (ધરતીના પિતા) તરીકે ઓળખવા લાગ્યા. એણે હવે બદીઓથી દૂર રહેવાની મુંડાઓને મનાઈ કરી દીધી.
આદિવાસીઓના રોષને દબાવવા માટે એક રાતે બિરસાની ધરપકડ કરી લેવાઈ. એને બે વર્ષની જેલાની સજા કરવામાં આવી.
સજા ભોગવ્યા પછી બિરસાએ પાછા આવીને ઉલગુલાન (સંઘર્ષ કે વિદ્રોહ) શરૂ કરી દીધો આંદોલન) જે બે વર્ષ ચાલ્યો. એમની દોરવણી નીચે આદિવાસીઓએ બે વર્ષમાં બ્રિટિશ હકુમતનાં કામ થતાં એવાં સોએક ભવનો પર હુમલા કર્યા અને બ્રિટિશ સત્તાને હંફાવી.
૧૮૯૯ની ૨૫મી ડિસેમ્બર – ક્રિસમસની રાતે સાત હજાર મુંડા ડોમ્બારીની ટેકરી પર ભેગા થયા અને એક ચર્ચ પર હુમલો કર્યો. આમાં બે સિપાઈ માર્યા ગયા. ૧૯૦૦ની પાંચમી જાન્યુઆરી સુધીમાં તો ઠેર ઠેર મુંડા રાજની આણ ચોમેર વર્તાઈ ગઈ.
અંતે, એની સામે ભારે હથિયારોથી સજ્જ દળકટક મોકલવામાં આવ્યું. મુંડાઓ પરાજિત થયા. પોલીસે ભારે ગોળીબાર કરીને ચારસો મુંડાઓ અને ઓરાઓંને મારી નાખ્યા અને એમની લાશો પણ ખાઈઓમાં ફેંકી દીધી. બિરસા તો ત્યાંથી ભાગીને સિંઘભૂમના ટેકરિયાળા પ્રદેશમાં છુપાઈ ગયા હતા પણ ૧૯૦૦ની ત્રીજી માર્ચે એ પકડાઈ ગયા.
એમના ૪૮૨ સાથીઓ સામે કેસ ચાલ્યો. એકને દેહાંતદંડ અપાયો. કેટલાયને કાળા પાણીની સજા થઈ. કેટલાયને ૧૪ વર્ષની જેલ મળી. કમનસીબે એ અરસામાં કૉલેરા ફેલાયો અને એ રાંચીની જેલમાં પણ પહોંચ્યો. બિરસા પણ એમાં ઝડપાયા અને ૧૯૦૦ની ૯મી જૂને એમનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ સમયે એમની ઉંમર માત્ર ૨૪ વર્ષ અને ૭ મહિનાની હતી.
બિરસા મુંડાનો પ્રભાવ એટલો બધો હતો કે આજે પણ બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસીઓ બિરસા મુંડાને ભગવાન માને છે. આપણે પણ એમની સ્મૃતિમાં નતમસ્તક થઈએ.
0x0x0
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
બહુ જ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ. આવી કઈ કઈ વાતો સ્વરાજ ના સંગ્રામમાં લખાઈ જ હશે. વધુ એવું કઈ પોસ્ટ કરો.
LikeLike