વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી

જગદીશ પટેલ

બાળમજૂરી નાબૂદી પર પાંચમી વૈશ્વિક પરિષદ ૧૫-૨૦ મે, ૨૦૨૨ ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં યોજાઇ ગઇ, જેમાં યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) લક્ષ્યાંક ૮.૭ હાંસલ કરવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો. ૨૦૨૫ સુધીમાં તમામ પ્રકારની બાળમજૂરી નાબૂદીનો લક્ષ્યાંક આંબવાની મથામણ કરી તેની વ્યુહરચના ઘડી એક્શન પ્લાન બનાવવામાં આવ્યો. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇ.એલ.ઓ.) અને યુનિસેફે અવલોકન કર્યું છે તેમ, સામાજિક સુરક્ષા અને સ્થિતિસ્થાપક રોજગાર નીતિઓની ગેરહાજરીમાં, કોવિડ-19 રોગચાળાને કારણે બાળમજૂરીમાં નોંધપાત્ર વધારો થયો છે, જેણે ૨૦૧૦ના દાયકાથી થયેલી પ્રગતિને પાછી ધકેલી દીધી.

વિશ્વમાં બાળમજૂરીના સૌથી ખરાબ સ્વરૂપો અંગેના આઇ.એલ.ઓના 1999ના ઠરાવ નંબર 182ને સાર્વત્રિક આવકાર મળ્યો અને આઇ.એલ.ઓ.ના તમામ સભ્ય દેશોએ ઝડપથી તેને સ્વીકાર્યો તેની ડરબન પરિષદમાં નોંધ લેવાઇ. તે કારણે ૨૦૦૦ના વર્ષ પછી ૮.૬ કરોડ બાળમજૂર ઓછા થયા. બાળમજૂરો અંગેના ૨૦૨૦ના અંદાજ મુજબ વિશ્વમાં ૧૬ કરોડ બાળમજૂર છે તે પૈકી અડધા જેટલા જોખમી કામમાં રોકાયેલા છે. ૧૧.૨ કરોડ તો ખેતમજૂરી કરે છે. સૈન્યમાં કામ કરવા બાળમજૂરોની ભરતી કરવાનું ચાલુ રહ્યું છે. ૮.૯ કરોડ બાળમજૂર તો ૫ – ૧૧ વર્ષની વયના બાળકોમાં વધ્યા હોવાનું આ પરિષદના અહેવાલમાં નોંધાયું.

બાળમજૂરીને નાબૂદ કરવાનો પડકાર કૃષિમાં સૌથી મોટો છે, જે વૈશ્વિક સ્તરે તમામ બાળમજૂરોમાં 70% હિસ્સો ધરાવે છે; આશરે ૧૧.૨ કરોડ બાળકો. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના “ગ્લોબલ સોલ્યુશન્સ ફોરમ-એક્ટિંગ ટુગેધર ટુ એન્ડ ચાઈલ્ડ લેબર ઇન એગ્રીકલ્ચર” નામે નવેમ્બર ૨૦૨૧માં યોજાયેલ બેઠકમાં પરિણામો હાંસલ કરવા માટે બહુપરિમાણીય અને બહુક્ષેત્રિય અભિગમોની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો, અને SDG 8.7 ના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવાની પ્રતિબદ્ધતાઓને જાળવી રાખવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે આહવાન કર્યું..

આબોહવા પરિવર્તન અને બાળકોના સ્વાસ્થ્ય પરના અભ્યાસોની 2021ની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે આબોહવા પરિવર્તન અંગેના સાહિત્યમાં આબોહવા પરિવર્તનની બાળ આરોગ્ય પર પડનારી અસરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી અને ઘણા અભ્યાસોમાં માત્ર પેટા-વસતિ તરીકે બાળકોનો સમાવેશ થાય છે. પરિણામે, આપણને આ અંગે પ્રાપ્ત થતા જ્ઞાનમાં નોંધપાત્ર ખામી રહી જવા પામે છે. સમીક્ષા તારણ આપે છે કે “આ ખામી પૂરી કરવા માટે જુદી જુદી તમામ શાખાઓમાં સંશોધનના નવેસરથી પ્રયાસોને કરવા જરૂરી છે, જેમાં યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સંદર્ભે આબોહવા પરિવર્તન અને બાળ આરોગ્ય કેંદ્રમાં હોય.”

કૃષિમાં આબોહવા પરિવર્તન અને બાળમજૂરી વચ્ચેના જોડાણના ઘણા પાસાઓ છે જેના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આમાંનો એક મુદ્દો છે, જમીનની સપાટીના તાપમાનમાં થતો વધારો, ગરમીને કારણે થતો તણાવ અને જોખમી કામ વચ્ચેનો સંબંધ. નીચા અને મધ્યમ માનવ વિકાસ સૂચકાંક (HDI) દેશોમાં ખેતરો અને વાવેતર પર કામ કરતા પુખ્ત વયના લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરતા પ્રમાણમાં ન મળવાને કારણે લાંબા ગાળે બીમાર પડે છે અને ગરમીને કારણે થતી બીમારી જેમ કે લુ લાગવી કે થાક લાગવો જેવી ઘટનાઓનું પ્રમાણ વધી જાય છે. ૨૦૧૪માં પાણી અને ખાદ્ય સુરક્ષાના વિષયે ખાદ્ય આપૂર્તિ અને પોષણ અંગે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિ (HLPE; હાઇ લેવલ પેનલ ઓફ એક્સપર્ટસ) સમક્ષ IUF નામના આંતર્રાષ્ટ્રીય મજૂર સંગઠને રજુઆત કરતાં જણાવ્યું કે મધ્ય અમેરિકામાં શેરડી કામદારોને મોટા પાયે લાંબા ગાળે થતી કીડનીની બીમારીએ મહામારીનું રૂપ ધારણ કર્યું છે અને તેના મૂળમાં ગરમીને કારણે થતી તાણ અને નિર્જલીકરણ (શરીરમાંથી પાણી ઓછું થવું) છે.

આ સંદર્ભમાં, આ જ કામ કરતા બાળકોના સ્વાસ્થ્ય પર ગરમીને કારણે થતી તાણ અને નિર્જલીકરણની અસરને વધુ સારી રીતે સમજવાની જરૂર છે. પુખ્ત વયના લોકો કરતાં બાળકો ગરમીના થાક અને ડિહાઇડ્રેશન પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે એટલે કે એમને જલદી અસર થઇ જાય. FAO દ્વારા ૨૦૧૮માં પ્રકાશિત થયેલ કૃષિ કાર્યમાં ગરમી સાથે કામ પાર પાડવા (મેનેજમેંટ) અંગેનું સંશોધન એવા તારણ પર પહોંચે છે કે ૩૬°C.થી વધુ તાપમાને બાળકોને ગરમી સંબંધિત બીમારીઓનું વધુ જોખમ હોઈ શકે છે. તાજેતરમાં કૃષિમાં કામ કરતા બાળકોમાં ગરમીના તાણ અને નિર્જલીકરણના અભ્યાસો થયા છે. આનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ ૨૦૨૦માં અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યમાં દક્ષિણ અમેરિકન મૂળના ખેતમજૂર બાળકોમાં ગરમી સંબંધિત બીમારીનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

કૃષિ કામદારો માટે તેમની રહેવાની સ્થિતિને કારણે કામ પર પહોંચે ત્યારે જ શરીરમાં પાણી ઓછું હોય તે બાબત સામાન્ય છે. બાળકો જે ઘરમાં રહે છે તે વધતા તાપમાનને કારણે ગરમ હોય છે તેથી તેઓ ખેતરોમાં કામ કરવાનું શરૂ કરે તે પહેલાં જ  તેમના શરીરમાંથી પાણી ઘટી ગયું હોય. આ બાળકો પર થતી ગરમીની આવી સંચિત અસરનો પણ વધુ અભ્યાસ કરવાની જરૂર છે.

અતિશય ગરમી અને સૂર્યના સીધા સંપર્કને કારણે તેમજ અન્ય આત્યંતિક હવામાનની ઘટનાઓને (વરસાદ, વાવાઝોડૂં વગેરે) લીધે, કૃષિ કામદારો અને સીમાંત ખેડૂતોનો ખેતરોમાં કામ કરી શકે તે માટેનો  સમય ઉત્તરોત્તર ઓછો થઈ રહ્યો છે. ૨૦૨૧ના લેન્સેટ કાઉન્ટડાઉન રિપોર્ટે ચેતવણી આપી હતી કે ૨૦૨૦માં માનવ વિકાસ આંક ઓછો હોય તેવા દેશોમાં ભારે ગરમીને કારણે કૃષિ ક્ષેત્રમાં કામકાજના સંભવિત કલાકોમાં ૭૯%નો ઘટાડો થયો હતો. આ શોધ એ ચિંતા ઊભી કરે છે કે કામના કલાકો પર ગરમીના સંપર્કની અસર ખાદ્ય ઉત્પાદનને પણ અસર કરી શકે છે. પરિણામે પહેલાથી જ નબળા કામદારો માટે આ વિનાશક આર્થિક પરિણામો લાવી શકે છે.

૨૦૧૨માં કામના કલાકોની તુલનામાં, કૃષિ કામદારો અને સીમાંત ખેડૂતો હવે દિવસના સૌથી ગરમ ભાગને ટાળવા માટે સવારે વહેલા કામ શરૂ કરે છે અને સાંજે કામ પૂરૂં કરે છે. ગરમીના થાક અને ગરમીના તાણના જોખમને ઘટાડવા માટે કામના સમયમાં આવા ફેરફારોને ઘણીવાર આબોહવા અનુકૂલન વ્યૂહરચના તરીકે વર્ણવવામાં આવે છે. જો કે ઘણા નીચા અને મધ્યમ માનવ વિકાસ આંક (HDI) ધરાવતા દેશોમાં કામદારો તેમની અનુકૂલનશીલ ક્ષમતાની મર્યાદા સુધી પહોંચી ગયા હશે. એટલે કે ગરીબ અને આર્થિક-સામાજીક રીતે પછાત દેશોમાં આ કામદારોના શરીરની સહનશીલતાની હદ આવી ગઇ હશે.

ઠંડા તાપમાનમાં મોડી સાંજે કામ કરવું એ ગરમીના તણાવના ઘટાડાના જોખમની દ્રષ્ટિએ સલામત છે, પરંતુ અન્ય જોખમો વધે છે. દિવસ કરતાં સાંજના સમયે મચ્છરજન્ય રોગો જેમ કે મેલેરિયા અને ડેન્ગ્યુનું વધુ પ્રમાણ જોવા મળે છે. જો બાળકો ગરમીની તાણથી બચવા માટે પરોઢિયે અને સાંજના સમયે કામ કરતા હોય, તો તેઓને માથે આ વેક્ટર-જન્ય રોગોનું જોખમ વધી જાય છે. બાળપણનો મેલેરિયા લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર જોખમો ધરાવે છે તે જોતાં, આબોહવા પરિવર્તનની આ આરોગ્ય પર અસર વધુ ધ્યાન આપવાને પાત્ર છે.

કૃષિ કામદારોની અનુકૂલન ક્ષમતા પરના અવરોધો માત્ર ભૌતિક જ નથી. સામાજિક સુરક્ષા અને સારા વેતન મળવાની ખાતરી ન હોય ત્યારે, દહાડિયા કે દાડિયા કામદારો માટે ઉપલબ્ધ સલામત કામકાજના કલાકો દરમિયાન સુરક્ષિત રીતે કામ કરી શકે તેટલા સમયમાં પ્રતિ કલાક વધુ મહેનત કરવી પડે છે. જે કામદારો ગરમીનો થાક અથવા ગરમીનો તાણ અનુભવતા હોય તેઓને તેમના કામની ગતિ ધીમી કરવાની તબીબી સલાહની વિરુદ્ધ તેમણે તેમને અપાયેલ લક્ષ્યાંક અથવા ક્વોટા પૂરા કરવા માટે પોતાના કામની ગતિ વધારવી પડે છે, કારણ કે તેમ ન કરે તો ઉત્પાદકતામાં ઘટાડો થાય છે. કામની ગતિમાં ઘટાડો કરે અથવા વચ્ચે વચ્ચે આરામ લે તો આપેલા લક્ષ્યાંક ચૂકી જવાય અને આવકમાં ઘટાડો થાય. અમે અન્યત્ર દલીલ કરી છે તેમ,  દહાડિયા વેતન પ્રણાલી એ કૃષિમાં બાળમજૂરીના મુખ્ય પ્રેરક બળ પૈકી એક છે.

મોસમ પરિવર્તનને કારણે જો ગરમીના તણાવ અને નિર્જલીકરણનું જોખમ વધે, તો 12-14 વર્ષની વયના બાળકો શાળાના સમય સિવાયના સમયમાં ટૂંકા ગાળા માટે કરી શકે તેવા સલામત  કૃષિ કાર્યો પણ ILOની 1999ની જોખમી કામની વ્યાખ્યામાં આવી શકે છે.

જોખમી કાર્યને નિયંત્રિત કરવા માટેની નીતિઓ અને કાયદાકીય માળખામાં વધતા તાપમાન અને ભારે ગરમીની ઘટનાઓને સામેલ કરવા માટે તાત્કાલિક પગલાંની જરૂર છે. ILO ભલામણ ક્રમાંક 190 હેઠળ વિકસાવવામાં આવેલી કેટલીક વર્તમાન જોખમી કાર્યયાદીઓ કામની પ્રક્રિયા અને તે પ્રક્રિયાના આંતરિક જોખમો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે બાળમજૂરીના સૌથી ખરાબ સ્વરૂપો અંગેના આઇ.એલ.ઓના 1999ના ઠરાવ નંબર 182 ની કલમ 2, જણાવે છે કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના તમામ લોકોને જોખમી હોય તેવા કામ કરવા પર પ્રતિબંધ છે. આ કામ પોતે જ જોખમી હોય અથવા તે જે સંજોગોમાં કે પરિસ્થિતિમાં કરવામાં આવતું હોય તે જોખમી હોઇ શકે. આબોહવા પરિવર્તનના સંદર્ભમાં જે સંજોગોમાં કામ કરવામાં આવતું હોય તે બાબત ફરીથી તપાસવી જરૂરી છે.

એવી દલીલ કરી શકાય છે કે વધતું તાપમાન અને અતિશય ગરમીના સંપર્કમાં આવવાનું જોખમ હાલમાં સલામત ગણાતા કામ બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જોખમી ગણાતા ઘણા કાર્યોને ફરીથી જોખમી કામની શ્રેણીમાં મુકી શકે છે. વધતા તાપમાન અને અતિશય ગરમીની ઘટનાઓએ બાળકોના સ્વાસ્થ્ય માટે કઈ રીતે નવા જોખમો સર્જ્યા છે તે વધુ સારી રીતે સમજવાનું, ખેતમજૂરી કરતા બાળકોમાં ગરમીના તાણના જોખમને ઘટાડવા માટે વધુ અસરકારક રસ્તા વિકસાવવા અને આ નવા સંજોગોમાં બાળકો માટે હલકું, સલામત અને બીનજોખમી કામો ક્યા છે તે નક્કી કરવાનું આપણા માટે હવે અનિવાર્ય બની ગયું છે.

બાળમજૂરી અને આબોહવા પરિવર્તન બંને જટિલ, સંકુલ અને બહુસ્તરિય મુદ્દાઓ છે. પણ તેનો અર્થ એમ નહી કે આપણે હાથ જોડીને ચુપચાપ બેસી રહીએ.

ડરબન પરિષદમાં ખેતીમાંથી બાળમજૂરી સદંતર નાબુદ કરવાનો મુદ્દો એક્શન પ્લાનમાં સમાવાયો છે.

https://www.sciencedirect.com/science/article/pii/S2542519622001188


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855