વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી

જગદીશ પટેલ

“મેં તેને શાકભાજી ખરીદવા માટે પણ જવા દીધી ન હતી,” જીજ્ઞેશભાઈએ હળવા પ્રયત્નશીલ સ્મિત સાથે કહ્યું. તેના માથા પરના ગાઢ ઘેરા કાળા વાળ એક સ્વસ્થ વ્યક્તિને છેતરતી રીતે ચમકતા હતા. પાતળું નાક તેના બેસી ગયેલા ચહેરા પર વધુ સ્પષ્ટ અને તિક્ષ્ણ દેખાતું હતું. તેની આંખોમાં ચમક હતી કારણ કે તેણે તેની ભોંય પર બેઠેલી પત્ની તરફ પ્રેમથી જોયું.

” જ્યારે તે બીમાર ન હતો ત્યારે તેનો બાંધો બહુ મજબુત હતો અને તે ખૂબ જ તંદુરસ્ત હતો. મારી પાસે તેના જુના ફોટા છે!” તેની પત્નીએ કહ્યું અને તે નીચું જોઇ ગઇ. જ્યારે તેણે માથું નમાવ્યું ત્યારે મેં જોયું કે આંસુનો એક પાતળો પડદો તેની વિશાળ તેજસ્વી આંખોમાં ફેલાય છે.

એક બાળક અમારી હાજરીથી બેધ્યાન થઈને સૂઈ રહ્યું હતું. સ્કુલ ડ્રેસમાં એક નાની છોકરી રૂમમાં પ્રવેશી. તેની મોટી બહેન પણ પ્રવેશી. નાની છોકરીએ કુતૂહલથી મારી સામે જોયું. મોટી બહેનને રસ નહોતો. અમારી હાજરીની નોંધ લીધા વિના તે ડ્રોઈંગ કમ લિવિંગ રૂમની બાજુમાં આવેલા રૂમની અંદર ગઈ.

“તમારો નામ સુ છે – તમારું નામ શું છે?”

“વિદ્યા,” તેણે કહ્યું અને તે તેની માતાની નજીક બેઠી, લગભગ તેના ખોળામાં.

“તમે કયા વર્ગમાં છો?” મેં હિન્દીમાં પૂછ્યું કારણ કે મારૂં ગુજરાતી બહુ નબળું.

તેની માતાએ જવાબ આપ્યો, “તે બીજા ધોરણમાં છે.”

“અને તેની બહેન?”

“પાંચમીમાં,” તેણે કહ્યું અને હસી.

“તમે? તમે સુરેંદ્રનગરના રહેવાસી છો?” મે પુછ્યુ.

“ના, અમે મોરબીમાં રહેતા હતા. બે વર્ષ પહેલા મારી તબિયત બગડવા લાગી. મારાથી ખોરાક જ લેવાતો ન હતો. મને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડતી હતી. ચાલતા ચાલતા હું થાકી જતો હતો. હું ડૉક્ટર પાસે ગયો અને મને સિલિકોસિસ હોવાનું નિદાન થયું. ડૉક્ટરે સૂચવ્યું કે મારે માત્ર નોકરી જ નહીં પરંતુ શહેર પણ છોડવું જોઈએ. તેમણે ઉલ્લેખ કર્યો કે મોરબીની આસપાસની ધૂળ મારા આરોગ્ય માટે હાનિકારક છે. મારા પોતાની માલિકીના ઘરને છોડીને અહિં આવવું પડ્યું,” જીજ્ઞેશભાઈએ કહ્યું.

હું સાંભળતો હતો.

“ડૉક્ટરે કહ્યું કે જો મારે જીવવું હોય તો મારે તાત્કાલિક મોરબી છોડી દેવું જોઈએ.” હું તેની સામે જોઈ રહ્યો હતો. ગળાની વચ્ચે આવેલી ગોટી ઉપસેલી હતી અને જિજ્ઞેશ જ્યારે પણ શ્વાસ લેતો ત્યારે તે ગોટીની બંને બાજુના સ્નાયુઓ જાણે અંદર ખેંચાતા હતા અને તે કારણે તેમનો બેસી ગયેલા ગાલવાળો ચહેરો વધુ ભયાનક રૂપ ધારણ કરતો હતો.

“પેલું શું છે?” મેં જીજ્ઞેશની પત્નીને ભીંતને અઢેલીને મુકેલી ધાતુની લંબચોરસ, બે છેડે હુક જડેલા હોય તેવી એક ફ્રેમ તરફ ઈશારો કરતાં પૂછ્યું. હુક સાથે સફેદ રેશમી દોરા બાંધેલા હતા. રેશમના દોરાનો સમૂહ સુતરના દોરાઓ વડે રેશમના દોરા પર બનાવેલા કાળા નિશાનની આસપાસ બાંધવામાં આવતો હતો.

“તે પટોળા માટે દોરા રંગવાની પ્રક્રિયાનો એક ભાગ છે,” તેણે કહ્યું. [પટોળા એક પ્રકારનું કાપડ છે જે મુખ્યત્વે ગુજરાતના પાટણ સાથે સંકળાયેલું છે. પટોળા એ ખૂબ જ જટિલ વણાટનો પ્રકાર છે જેમાં તાણા અને વાણા બંનેને એવી રીતે રંગવામાં આવે છે કે કાપડની બંને બાજુએ એકસરખી ભાત દેખાય.]

હું શાંતિથી પ્રક્રિયા સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ફ્રેમ પાસે કાગળ પર બનાવેલ પટોળાની પેટર્ન પડી હતી.

“હું આ વિશે જાણતી ન હતી. તે બીમાર થયા પછી મને આ જાણ થઈ,” તેણે કહ્યું.

“તમે પટોળાનું કાપડ વણો છો?” મે પુછ્યુ.

“ના, હું માત્ર રંગ કરું છું. ડાઈ કર્યા પછી હું વેપારીને દોરા પાછા આપું છું. તેઓ તેને પટોળામાં વણી લે છે,” તેણે કહ્યું.

હું સાંભળતો હતો.

“સારું કામ થયું હોય તે દિવસે હું રૂ.૪૦૦/- કમાઇ લઉં છું,” તેણે કહ્યું અને ઉમેર્યું, “આ ઘરનું ભાડું દર મહિને રૂ.૩,૦૦૦/- છે અને મારે રૂ.૬,૦૦૦/-ના હપ્તા (EMI) પણ ચૂકવવા પડે છે.”

“શાના હપ્તા?” મેં પુછ્યું.

“અમે L&T ફાઇનાન્સ પાસેથી લોન લીધી છે અને અમારે હપ્તા ભરવાના હોય છે.” તેણે કહ્યું.

“તમે કેટલા વર્ષ કારખાનામાં કામ કર્યું?” મેં જીજ્ઞેશભાઈને પૂછ્યું.

“હું ખૂબ નાનો હતો ત્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું. હવે હું ૩૭  વર્ષનો છું. મેં ૨૦ વર્ષ કારખાનામાં કામ કર્યું છે,” તેણે કહ્યું.

“આટલા લાંબા સમય સુધી કામ કર્યા પછી પણ તમે પૈસા બચાવી શક્યા નથી?” મેં આશ્ચર્ય વ્યકત કર્યું.

“જ્યારે હું કામ કરતો હતો ત્યારે હું મારા આખા પરિવાર અને મારા માતા-પિતાની સંભાળ રાખતો હતો. મેં પૈસાનો બગાડ નહોતો કર્યો.” તેણે કહ્યું.

“લોન શા માટે લેવી પડી?”

“મેં મકાન બાંધવા માટે લોન લીધી હતી. લોન મળ્યાના બે મહિના પછી મને સિલિકોસિસનું નિદાન થયું. અને તે કારણે હું પરાણે બેરોજગાર થઇ ગયો. એક બાજુ આવક સદંતર બંધ થઇ અને બીજી બાજુ તબીબી ખર્ચમાં ઘણો વધારો થયો. મેં લીધેલી લોન હોસ્પિટલોમાં જવા અને દવાઓ ખરીદવામાં વપરાઈ ગઇ.” જીજ્ઞેશે કહ્યું.

“તમે કેટલી લોન લીધી હતી?”

“રૂ. ૧,૭૫,000/-.” તેમણે કહ્યું. તેની પત્નીએ ઉમેર્યું, “મેં મારા સોનાના દાગીના મુથુટ પાસે રૂ. ૩૦,૦૦૦/-માં ગીરો મૂક્યા હતા. તે રકમ પણ સારવારમાં વપરાઇ ગઇ.”

મેં સાંભળ્યું.

“મારે મારા પરિવાર, સંબંધીઓ અને મિત્રો પાસેથી પૈસા ઉછીના લેવા પડ્યા,” જીજ્ઞેશે કહ્યું.

તેની પત્ની મેડિકલ રિપોર્ટનો થોકડો લઈને અમને બતાવવા લાવી. જીજ્ઞેશભાઈ મોતાભાઈ પરમાર, ઉંમર ૩૭, પુરુષ, વજન ૪૧.૫ કિ.ગ્રા.૨૦ /૦૬ /૨૦૨૨ . જાન્યુઆરી ૨૦૨૩ના તાજેતરના અહેવાલમાં વજન ૩૯  કિ.ગ્રા.નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

“તેનું વજન ઘટી ગયું છે.” મેં કહ્યું.

“હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરું છું અને તેને ભાવતી રસોઇ બનાવું છું પણ તેને કશું ભાવતું જ નથી. એક-બે કોળિયા લીધા પછી તે કહે છે કે તેને ઉલ્ટી જેવા ઉબકા ચડે છે.” જીજ્ઞેશની પત્નીએ કહ્યું અને ફરી એકવાર માથું નમાવ્યું. તેની આંખોમાં આંસુઓનું એ જ દ્રશ્ય પુનરાવર્તિત થયું.

“તમારે ખાવું જોઈએ. તમારે મજબૂત હોવું જોઈએ” મેં જીજ્ઞેશ સામે જોઈને કહ્યું.

“હું મજબૂત છું. હું આશાવાદી છું. હું મારાથી બને તેટલું કરવા તૈયાર છું જેથી ભવિષ્યમાં કોઈને આ રોગ ન થાય,” જીજ્ઞેશે જોરદાર સ્મિત સાથે કહ્યું.

અમે જીજ્ઞેશના ઘરેથી નીકળવા માટે ઉભા થયા. તે પણ ઉભો થયો. તે ઊંચો હતો. તેની ઊંચાઈના પ્રમાણમાં ખૂબ પાતળી અને નાજુક દેહયષ્ટી!

“ના, તમે ઉભા થશો નહી, આરામ કરો.” રૂમમાંથી બહાર નીકળતાં અમે કહ્યું.

“તમને શું લાગે છે જીજ્ઞેશ ક્યાં સુધી જીવશે?” ઘરની બહાર આવ્યા પછી મારા વરિષ્ઠ સાથીદારે પૂછ્યું.

“હું આશાવાદી છું.” મેં કહ્યું.

“તમે જીજ્ઞેશના ગળામાં સરેક શ્વાસે થતા લબકારા જોયા?” તેમણે પૂછ્યું.

હું બોલ્યો નહીં, પણ જીજ્ઞેશના ગળામાં થતા લબકારાનું દ્રશ્ય મારી આંખથી આઘું ખસતું ન હતું.

રામ મનોહર વિકાસ

અનુઃ જગદીશ પટેલ


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M – +91 9426486855