મંજૂષા

વીનેશ અંતાણી

 

વણમાગી સલાહ આપવાના બંધાણી લોકો સામેની વ્યક્તિની નિર્ણયશક્તિનો અસ્વીકાર કરે છે. તેઓ બીજાના વિચારો, લાગણી, સંજોગો કે સમજણને સ્વીકારવા તૈયાર હોતા નથી

 

મને ડાયાબિટીઝ છે એવી પહેલી વાર ખબર પડી પછી થોડા દિવસે એક મિત્રની પુત્રીનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. તેના ઉદ્દઘાટન પછી આઇસ્ક્રીમ આપવામાં આવતો હતો. મેં ના પાડી. બાજુમાં બેઠેલા કવિ લાભશંકર ઠાકર બોલી ઊઠ્યા: ‘આઇસ્ક્રીમની ના પાડો છો?’ મેં કારણ જણાવ્યું. એક વડીલ તરત જ મારે ડાયાબિટીઝમાં શું કરવું અને શું ન કરવું એની ઢગલાબંધ સલાહ આપવા લાગ્યા. લાભશંકરભાઈ ગુસ્સે થઈ ગયા. પૂછ્યું:  ‘તમને ડાયાબિટીઝ છે?’ વડીલે ના પાડી. લાભશંકરે કહ્યું: ‘તો પછી શા માટે વણમાગી સલાહ આપવા બેઠા છો? એણે તમારી સલાહ માગી?’

એ વડીલ તો મને સમભાવપૂર્વક મદદ કરવા માગતા હશે, પરંતુ ઘણા લોકોને વણમાગી સલાહ આપવાનું વ્યસન થઈ ગયું હોય છે. એમને સલાહ આપવામાં કશું અયોગ્ય લાગતું નથી. તેઓ સામેની વ્યક્તિએ એમની સલાહ માગી છે કે નહીં તેનો વિચાર કરતા નથી. અન્ય વ્યક્તિના અંગત ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે એવો વિચાર પણ એમને આવતો નથી. વણમાગી સલાહ આપવાની આદત એમના સ્વભાવનો અવિભાજ્ય હિસ્સો હોય છે. મનોવિજ્ઞાન કહે છે તેમ વણમાગી સલાહ આપવાનું વલણ એ પ્રકારના લોકોની પર્સનાલિટીનો એક ભાગ હોય છે. તેઓ પોતાને બીજાથી વધારે ડાહ્યા, અનુભવી અને સમજુ માને છે. તેઓ માને છે કે એમની સલાહ પ્રમાણે ચાલવાથી જ આ સંસાર સુનિયોજિત ઢબે ચાલશે. આવા લોકો સામેની વ્યક્તિનાં નિર્ણયશક્તિ અને ડહાપણનો અસ્વીકાર કરે છે. તેઓ બીજી વ્યક્તિના વિચારો, લાગણી, સંજોગો કે એની સમજણને સ્વીકારવા તૈયાર હોતા નથી. એમને ‘સલાહો’ ઓકવાનો રોગ હોય છે.

ઘણા લોકો માટે વણમાગી સલાહ આપવાની પ્રવૃત્તિ ‘ટાઈમ પાસ’ હોય છે. તેઓ જાણે માને છે કે આ જગતમાં ઊભી થનારી બધી પરિસ્થિતિનો હલ એમની પાસે છે. ટ્રેનમાં, બસમાં કે લોકો ભેગા થયા હોય ત્યાં કોઈ પણ ઓળખાણ વિના આ નિષ્ણાતો સલાહ આપવા લાગે છે. એક બાળક ટ્રેનમાં તોફાન કરતું હતું ત્યારે સલાહ આપવાના આજન્મ ભેખધારી એક સજ્જન બાળકની માતાને, કોઈ પૂર્વ ઓળખાણ વગર, બાળઉછેર વિશે જાતજાતની સલાહનો વરસાદ વરસાવવા લાગ્યા. એક ભાઈ બીમાર મિત્રને મળવા હૉસ્પિટલમાં ગયા. ડૉક્ટરના ‘પ્રિસ્ક્રિપશન’થી અલગ સલાહ આપવા લાગ્યા. ત્યાંથી અટક્યા નહીં. ડૉક્ટર આવ્યા ત્યારે એમને પણ યોગ્ય ટ્રિટમેન્ટની સલાહ આપવાનું શરૂ કર્યું. સાસુ-વહુના સંબંધમાં સલાહ આપનાર ‘શુભેચ્છકો’નું ટોળું બહુ મોટું હોય છે.

બાળકો મોટાં થાય ત્યાં સુધી સલાહો સાંભળીને થાકી જાય છે. ફિલોસોર રૂસોએ વ્યક્તિ અને સમાજના સંબંધના સંદર્ભમાં કહ્યું છે: ‘દરેક વ્યક્તિ જન્મે ત્યારે સ્વતંત્ર વ્યક્તિ હોય છે, પરંતુ ઉંમરની સાથે એ અનેક પ્રકારની સલાહની સાંકળોથી બંધાતી જાય છે.’ દરેક વ્યક્તિ પુખ્ત થયા પછી આ સાંકળના બંધનમાંથી મુક્ત થવા માગે છે, પરંતુ વણમાગી સલાહ આપનારા લોકો એમને છૂટવા દેતા નથી. સલાહકારોની પડીકી તૈયાર જ હોય છે – બાળકો માટે આ, ગૃહસ્થ જીવન માટે આ, વૃદ્ધાવસ્થા માટે આ પડીકી.

મેં ગ્રેજ્યુએશન માટે મુખ્ય વિષય તરીકે ગુજરાતી સાહિત્ય મુખ્ય વિષય રાખ્યો. મારા દૂરના સગા અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા. એમણે કહ્યું: ‘તું ગુજરાતી લઈને શું ઉકાળશે? વધારેમાં વધારે પંતુજી થઈશ.’ મારા પિતાજી આજન્મ શિક્ષક હતા. એ ગમ ખાઈ ગયા, પરંતુ મારી બાએ કહ્યું: ‘વિનુએ બહુ વિચારીને નિર્ણય લીધો હશે. અમેય એમાં માથું મારતાં નથી.’ એ મુરબ્બીએ મારા શિક્ષક પિતાજીની લાગણીનો વિચાર કર્યો નહોતો અને મારા નિર્ણય પાછળના તર્કનો વિચાર કર્યો ન હતો. એવા લોકો અજાણતાં જ સામેની વ્યક્તિનું અપમાન કરી બેસે છે.

સાદોસીધો વણલખ્યો નિયમ છે, સલાહ માગવામાં આવી હોય અને અનિવાર્ય હોય તો જ આપવી જોઈએ. વણમાગી સલાહ આપનાર વ્યક્તિ નિકટની સંબંધી હોય તો એની સલાહનો અમલ કરવામાં આવતો નથી તે જોઈને એ હર્ટ થાય છે. અંગત પરિવારમાં, મિત્રોમાં, સંબંધોના બૃહદ વર્તુળમાં આવા પ્રકારની લાગણીથી સંબંધ વણસે છે. ઘણી વાર વણમાગી સલાહનો ભોગ બનતી વ્યક્તિ સૌજન્ય દાખવીને રક્ષણાત્મક વલણ અપનાવવાનું પસંદ કરે છે. એક બહેને કહ્યું છે: ‘કોઈ મને સલાહ આપે ત્યારે હું સ્મિત કરતી રહું છું, દાંત દબાવી માથું હલાવ્યા કરું છું અને મનોમન ભગવાનને પ્રાર્થના કરું છું કે આ વ્યક્તિ હવે બોલતી બંધ થાય તો સારું.’

કોઈએ વણમાગી સલાહ આપતા લોકોને જણાવ્યું છે: ‘મારી જિંદગીનું ચાલકબળ હું છું, તમે તો બહારની વ્યક્તિ છો. તમે મારા વિશે કશું જાણતા નથી, અધૂરી માહિતીના આધારે અનુમાનો કરો છો. તમે મારી ચિંતા છોડી દો, તમારી ચિંતા કરો.’ સેન્સિબલ લોકો કોઈનેય બિનજરૂરી સલાહ આપવાનું ટાળે હોય છે.’ વણમાગી સલાહકારોથી કંટાળેલા એક જણે કહ્યું: ‘તમે મને સલાહ આપવા ઉત્સુક હો તો હાથ ઊંચો કરો અને પછી એ હાથથી તમારું મોઢું બંધ કરો.’

જો કે વણમાગી સલાહ ન આપવાની સલાહ આપવી એ પણ એક જાતની વણમાગી સલાહ જ કહેવાય.


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.