{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}

પિયૂષ એમ પંડ્યા

દેશના ભાગલા પછી નૂરજહાં પાકિસ્તાન ચાલ્યાં ન ગયાં હોત તો હિન્દી ફિલ્મસંગીતની દુનિયાનું કલેવર કેવું બન્યું હોત? આ સવાલનો જવાબ માત્ર તર્ક કરીને આપી શકાય તેમ છે. પણ આ બાબતે કોઈ પણ સમજૂતીને વાજબી ઠેરાવવા માટે ભાગલા પછીના હિન્દી ફિલ્મ સંગીતના ફલક ઉપર લતા મંગેશકરનું શું સ્થાન હતું તેને ધ્યાને લેવું જરૂરી છે.

અહીં બન્ને ગાયિકાઓ વચ્ચેની સરખામણી અનિવાર્ય બની રહે છે. નૂરજહાં પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને હતાં. એવું સ્થાન કે લતાએ પણ તેમની પાસેથી પ્રેરણા મેળવવી પડે. તેવા ગુલામ હૈદર પાસે ગાયકીની કસોટી આપતી વેળાએ લતાએ પોતે નૂરજહાંથી બહેતર તો નહીં, પણ કમ સે કમ તેમની જેવું ગાઈ શકે છે તેમ બતાવવા માટે તેમનું ગાયેલું ફિલ્મ ‘ઝીનત’(૧૯૪૫)નું ગીત બુલબુલા મત રો યહાં ગાયું હતું. આગળ જતાં બન્નેએ પોતપોતાના દેશમાં ટોચનું સ્થાન ભોગવ્યું. ૧૯૪૭ પછી અને ખાસ તો ફિલ્મી સંગીતના બદલાયેલા માહોલમાં તેઓ સામસામાં હોવાની કલ્પના રોચક છે.

ભાગલા પહેલાંના સમયગાળામાં નૂરજહાંના સિક્કા પડતા હતા ત્યારે ભારેખમ અવાજોનું ચલણ હતું. ૧૯૪૦ના દશકમાં જોશીલી પંજાબી ધૂનોના ચલણની શરૂઆત થઈ તે અરસામાં શમશાદ બેગમ (લૌટ ગયી પાપન અંધીયારી, ફિલ્મ ખજાનચી-૧૯૪૧) અને નૂરજહાં ( મેરે લીયે જહાન મેં ચૈન હૈ ના કરાર હૈ, ફિલ્મ ખાનદાન-૧૯૪૨) જેવા અવાજો તેવાં ગીતોમાં બંધબેસતા હતા.

નૂરજહાંના અવાજમાં લાગણી વ્યક્ત કરવાની અને સ્વરોની બારીકીને ગુંથી લેવાની ક્ષમતા હતી. આમ હોવાથી તેમનાં ગાયેલાં ગીતો લાંબા સમય સુધી લોકપ્રિય બની રહેતાં હતાં(દીયા જલાકર આપ બુઝાયા, ફિલ્મ બડી મા-૧૯૪૫). આ ગીતના અંતરામાં કીસી તરાહ સે મહોબત મેં ચૈન પા ના સકે અને ઉપર ઉલ્લેખ થયો છે તે ફિલ્મ ઝીનતના ગીત બુલબુલા મત રોના અંતરામાં આંસુ બહાના હૈ મના જેવા શબ્દો છેડાય છે ત્યારે તેની અસરથી અભિભૂત થયેલા ભાવકને તે અંદરથી સ્પર્શી જાય છે. નૂરજહાંના અવાજમાં ફિલ્મ ‘ગાંવ કી ગોરી’(૧૯૪૯)ના ગીત બૈઠી હૂં તેરી યાદ કા લેકર કે સહારા અને લતાએ ગાયેલા ફિલ્મ ‘લાહોર’ના ગીત તૂટે હૂએ અરમાનોં કી એક દુનિયા બસાયે સાંભળીએ ત્યારે ખ્યાલ આવે છે કે  ભાવઅભિવ્યક્તિ અને સ્વરફંગોળ બાબતે નૂરજહાં લતાથી આગળ નીકળી જાય છે.

બન્ને ગીતો એક જ સાંગીતિક બીબામાં ઢાળવામાં આવેલાં હોય તેમ લાગે છે. લતાએ પોતાનું ગીત ખુબ જ સારું ગાયું છે પણ તેની ગાયકી નૂરજહાંના બૈઠી હૂં તેરી યાદ કા’  જેવી અસર છોડી શકતી નથી. આથી લોકપ્રિયતામાં પણ તેનીથી પાછળ રહી જાય છે.

સવાલ એ છે કે નૂરજહાંએ પાકિસ્તાન ન જવાનો નિર્ણય કર્યો હોત તો પરિસ્થિતિ શું હોત? શું તેમની ઉપસ્થિતિને લીધે લતાના ભારતની શ્રેષ્ઠ ગાયિકા તરીકેના પ્રાદુર્ભાવ પર અવરોધક અસર પડી હોત? મારો ભારપૂર્વકનો જવાબ છે, ના!

એ હકીકત છે કે દત્તા કોરેગાંવકર, શ્યામસુંદર અને નૌશાદ જેવા કલ્પનાશીલ સર્જકોએ તેમની ચોક્કસ ધૂનો માટે નૂરજહાંના અવાજનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું હોત. વળી ચંદુલાલ શાહ અને શશધર મુકરજી જેવા નિર્માતાઓ ખુરશીદ અને અમીરબાઈની અવેજીમાં લતાના નાની છોકરી જેવા અવાજને લેતાં ખચકાતા હતા.

પણ, ઘણાં પરિબળોએ લતાને અનુકુળતા કરી આપી. એક હતું પાર્શ્વગાનનો ઉદય. નૂરજહાં માત્ર પોતાને માટે જ ગાતાં હતાં. આથી તેમને એવી જ ફિલ્મોમાં ગાવાની તક મળત, જેમાં તેમની ભૂમિકા હોય. બીજું કારણ હતું બદલાઈ રહેલો માહોલ. સ્વાતંત્ર્ય પછી બીજા વિશ્વયુધ્ધ અને દેશના ભાગલાને લીધે સામાજિક અને આર્થિક તખતો ઝડપથી બદલાવા લાગ્યો. ફિલ્મો અને ફિલ્મી સંગીત ઉપર વેગીલા જીવનપ્રવાહોની અસર વર્તાવા લાગી. ફિલ્મ બરસાતનું ગીત જીયા બેકરાર હૈ આ બાબતને સ્પષ્ટપણે દર્શાવે છે. તે જ સમયગાળામાં શંકર-જયકિશન(બરસાત-૧૯૪૯), રોશન (હમલોગ-૧૯૫૧), મદન મોહન (અદા-૧૯૫૧) અને હેમંતકુમાર (નાગીન-૧૯૫૪) જેવા સંગીતકારો મેદાનમાં આવ્યા, જેઓ લતાના અવાજનો ભારપૂર્વક આગ્રહ રાખતા હતા. અગાઉના પંજાબી સંગીતકારો કરતાં આ બધા અલગ પશ્ચાદભૂમિમાંથી આવતા હતા અને તેમનાં પસંદગીનાં ધારાધોરણો પણ જુદાં હતાં.

આગળ.. શંકર, સી.રામચંદ્ર, મદનમોહન
પાછળ.. રોશન, અનિલ બીશ્વાસ, હેમંતકુમાર, મહંમદ શફી, નૌશાદ

બિનપંજાબી સંગીતનિર્દેશકો માટે લતાનો માધુર્યથી ભરપૂર, તાલિમબદ્ધ અને ત્રણેય સપ્તકોમાં વિસ્તરી શકે તેવો અવાજ ઈશ્વરી વરદાનથી કમ નહોતો. નૂરજહાંના માર્ગદર્શક ગુલામ હૈદરે પણ ફિલ્મ પદ્મીની(૧૯૪૮)ના ગીત બેદર્દ તેરે દર્દ કો સીને સે લગા કે માટે લતાના પાતળા અવાજનો ઉપયોગ કરીને પોતાની બહુમુખિતા પ્રસ્થાપિત કરી હતી.

એવું ધારી લઈએ કે નૌશાદે ફિલ્મ અંદાઝ (૧૯૪૯)નાં ગીતો તોડ દીયા દિલ મેરા અને ઉઠાયે જા ઉન કે સીતમ ની ધૂનો નૂરજહાંની આભામાં રહીને બનાવી હશે. લતાએ આ ગીતોને અન્ય કોઈ જ ન ગાઈ શકે  એવાં ગાયાં. આગળ જતાં ચંદા રે જા રે જા રે (ઝીદ્દી-૧૯૪૮), મેરે લીયે વોહ ગમ એ ઇંતેજાર છોડ ગયે (અનોખા પ્યાર-૧૯૪૮), (મહલ-૧૯૪૯), કૌન સૂને ફરીયાદ હમારી (દુલારી- ૧૯૪૯) અને દિલ હી તો હૈ તડપ ગયા (આધી રાત-૧૯૫૦) જેવાં લાગણીપ્રચૂર ગીતો વિશે વિચારીએ તો સ્વીકારવું પડે કે સમયસમયે લતાએ જે અસર ઉભી કરી છે તે નૂરજહાં કદાચ ન કરી શક્યાં હોત.

પાછળ ફરી ને જોઈએ તો નૂરજહાંની વિદાય બહુ મોટી ખોટરૂપ બની રહી છે. લતાએ ગાયેલાં અસંખ્ય ગીતો પણ નૂરજહાંના પ્રમાણમાં નાનકડા પ્રદાનની યાદ મીટાવી શક્યાં નથી. નૂરજહાંએ પોતાના હ્રદયની વાત માની, તેમના માનીતા સંગીતકારો તેની રાહ જોઈ રહ્યા હતા એવા લાહોર જવાનું તેમણે   નક્કી કર્યું એ તેમની નિયતીએ સૂઝાડ્યું હતું. ત્યાં તેમનું એકચક્રી સામ્રાજ્ય જામવાનું હતું, જો નૂરજહાં ભારતમાં રોકાઈ ગયાં હોત અને અન્ય અભિનેત્રીઓ માટે પાર્શ્વગાન કરવાનું સ્વીકારત તો પણ તે લાંબું ટકી ન શક્યાં હોત. સમયના બદલાવ અને નવા નવા સંગીતકારોના આગમન સાથે સીનેસંગીતનો તખતો પણ બદલાઈ રહ્યો હતો. તેમની કાબેલિયત માટે અનુકૂળ વાતવરણ નહોતું રહ્યું. લતાના ઉદય માટે એકદમ યોગ્ય સમય પાકી ગયો હતો.

નોંધ :

     –   તસવીરો નેટ પરથી અને ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લીધેલી છે.    

         તેનો કોઈ જ વ્યવસાયિક  ઉપયોગ નહીં કરવામા આવે.

       –  મૂલ્યવર્ધન …. બીરેન કોઠરી


શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com