મંજૂષા
વીનેશ અંતાણી
જિજ્ઞાસાથી પ્રેરણા મળે છે, પ્રેરણાથી આંતર્દૃષ્ટિ ઊઘડે છે અને વિકસિત આંતર્દૃષ્ટિને લીધે જીવન તરફનો અભિગમ બદલાઈ જાય છે.
હૈદરાબાદમાં યોજાયેલા કાર્યક્રમમાં એક વક્તાએ કહ્યું હતું કે જિજ્ઞાસા – કુતૂહલવૃત્તિ – બાળકના વિકાસમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. પોતાનાં રમકડાંના ભાગ છૂટા કરીને ફરી જોડવા મથતું બાળક આવતીકાલે મહાન વૈજ્ઞાનિક, મહાન વિચારક, કળાકાર કે ઉમદા અને જીવંત માણસ બનવાની શક્યતા ધરાવે છે. પરંતુ આપણે સફળતાના ભ્રામક ખ્યાલમાં સંતાન થોડું મોટું થાય ત્યારથી જ એના પર પરીક્ષામાં વધારે ગુણ મેળવવાની કે જીવનની જીવલેણ હરીફાઈમાં પહેલા નંબરે જ રહેવાની જવાબદારી નાખીને એનામાં રહેલા બાળકનું ખૂન કરી નાખીએ છીએ.
દરેક બાળક એના આગવા વિસ્મયલોકમાં જીવે છે. શિશુમાં વિકસી રહેલી જિજ્ઞાસાવૃત્તિને લીધે જ એ દરેક ચીજને સ્પર્શ કરવા માગે છે, સ્વાદ ચાખવા માગે છે, સૂંઘવા ઇચ્છે છે, પલંગ કે ખુરસી પર જાતે ચઢવાનો પ્રયત્ન કરે છે, ધ્યાનથી જુએ છે, એકાગ્રતાથી સાંભળે છે. આવી અનેક પ્રવૃત્તિમાં રચ્યુંપચ્યું રહેતું બાળક નવું નવું શીખતું રહે છે. થોડું મોટું થયેલું બાળક નવી રમત રમવા પ્રેરાય છે, નવા લોકોને મળવા માગે છે, નવા શબ્દો શીખે છે. એના માટે માહિતીનો ખજાનો ઊઘડતો રહે છે.
દરેક બાળક એની જિજ્ઞાસા અલગ અલગ રીતે પ્રદર્શિત કરે છે. એક શિક્ષક વર્ગમાં દેડકું લાવ્યા. બધાં બાળકો ઉત્તેજિત થઈ ગયાં. કેટલાંક બાળકો દેડકાંને અડકવા ઉત્સુક હતાં. કેટલાંક દૂર ઊભાં રહીને પ્રશ્ર્નો પૂછવા લાગ્યાં કે દેડકાંને દોસ્તો હોય? એમને ભય લાગે? દેડકાં રડે? પહેલા પ્રકારનાં બાળકોને દેડકાના પ્રત્યક્ષ દેખાતા બાહ્ય રૂપ વિશે કુતૂહલ થયું હતું, બીજા પ્રકારનાં બાળકોને દેડકાના આંતરિક સ્વરૂપ, એનામાં રહેલી લાગણીઓ વિશે જાણવાની જિજ્ઞાસા થઈ હતી. બાળસહજ જિજ્ઞાસાનું સ્વરૂપ ગમે તે હોય, નજરે દેખાતા પદાર્થ વિશે જાણવાની ઉત્કંઠા એકસમાન હોય છે. કહેવાયું છે કે આપણે બાળકની નજરે જોઈ શકીએ તો વયના કોઈ પણ તબક્કામાં આસપાસની દુનિયા વિસ્મયકારી જ લાગશે.
કુતૂહલવૃત્તિ નવી શોધોનું પ્રેરકબળ છે. આ વિશ્ર્વમાં થયેલી દરેક નવી શોધ, નવા વિચાર, નવી શરૂઆતનો પાયો માનવસહજ જિજ્ઞાસાવૃત્તિમાં રહેલો છે. બાળપણમાં આપણે આસપાસનું બધું જ જાણવા માગીએ છીએ. પુખ્ત ઉંમરમાં આવી જતું ભારણ આપણી બાળસહજ જિજ્ઞાસાને કચડતું જાય છે. જિજ્ઞાસાના અભાવથી જીવનમાં સ્થગિતતા આવે છે. આવી સ્થગિતતા ગંભીર બાબત છે કારણ કે એનાથી આપણામાં ભ્રામક આત્મસંતોષ જન્મે છે અને આપણે નવા પરિવર્તન માટેની તૈયારી ગુમાવી બેસીએ છીએ. જિજ્ઞાસાથી પ્રેરણા મળે છે, પ્રેરણાથી આંતર્દૃષ્ટિ ઊઘડે છે અને વિકસિત આંતર્દૃષ્ટિને લીધે જીવન તરફનો અભિગમ બદલાઈ જાય છે. એમાંથી નવી શક્યતાઓ ઊઘડે છે અને નવું સર્જન શક્ય બને છે. કુતૂહલવૃત્તિ માણસને અંદરથી બળ આપે છે, ચેતનવંતો રાખે છે અને અજાણ્યા પ્રદેશ ખેડવાની દિશા ખોલે છે.
કુતૂહલવૃત્તિ બાળકનો જ ઇજારો હોઈ શકે નહીં. જિજ્ઞાસા જીવંત રહી હશે એવી વ્યક્તિ આંખ સામે દેખાય છે તેને જેવું ને તેવું સ્વીકારી લેતી નથી. એને પ્રશ્ર્નો થાય છે. એ પ્રશ્ર્નોના મૂળમાં જવા માગે છે. ન્યૂટને રોજ બનતી એક ઘટના જોઈ – સફરજન ઝાડ પરથી નીચે પડ્યું. એને પ્રશ્ર્ન થયો કે ડાળી પરથી છૂટું પડેલું સફરજન નીચે ધરતી કેમ પડ્યું, એ ઉપર આકાશમાં કેમ ન ગયું. પરિણામ? લાંબા અને વિગતવાર સંશોધન પછી ન્યૂટન ગુરુત્વાકર્ષણના બળની મહાન શોધ કરી શક્યો. ન્યૂટને કહ્યું છે કે પ્રશ્ર્નો પૂછવા ક્યારેય બંધ કરવા નહીં. જિજ્ઞાસા જેવી પવિત્ર બાબત બીજી કોઈ નથી. એનાથી માણસ સક્રિય રહે છે, એની નિરીક્ષણશક્તિ વિકસે છે, નવા વિચાર જન્મે છે, નવી શક્યતાઓ ઊઘડે છે અને જીવનમાં ઉત્તેજના ટકી રહે છે. કોઈ આદિમાનવને બે પથ્થરના ઘર્ષણથી ઊઠતા તણખા જોવાથી જાગેલું વિસ્મય આગ પેટાવવાની હવે સ્વાભાવિક લાગતી, પરંતુ એક સમયની ક્રાંતિકારી શોધ તરફ લઈ ગયું હશે. પક્ષીઓને ઊડતાં જોઈને જાગેલા કૂતૂહલથી કોઈને એમના જેમ ઊડી શકાય કે નહીં તેવો પ્રશ્ર્ન થયો હશે, એમાંથી વિમાનની શોધ સુધી પહોંચી શકાયું હશે. અણદીઠેલી ભોંય ખેડવાનું કુતૂહલ કોલંબસને અમેરિકા નામના નવા પ્રદેશ સુધી લઈ ગઈ.
જિજ્ઞાસા કશુંક જુદું અને નવું કરવાની ધધકતી ઇચ્છા જન્માવે છે. જિજ્ઞાસુ લોકો સ્થગિતતામાં જકડાઈ જતા નથી. એક સમયે નવી લાગતી ઘણી શોધો હવે આપણા રોજબરોજના જીવનમાં એવી તો ગોઠવાઈ ગઈ છે કે એ બાબતો નહોતી ત્યારે જીવન કેવું હતું એની કલ્પના પણ કરી શકાતી નથી. નવું નવું કરવાની વૃત્તિ એક શોધ થઈ ગયા પછી પણ અટકતી નથી. શોધાઈ ચૂકેલી ચીજો કે નવા વિચારોથી આગળ જવાની ઇચ્છા રહે છે. સ્ટીલ કેમેરા શોધાયા પછી પણ માણસને સંતોષ થયો નહીં. એ અસંતોષ એને મોશન કેમેરાની શોધ સુધી લઈ ગયું અને એમાંથી સિનેમા જેવી અદ્દભુત કળાનો વિકાસ થયો. સાદા ટેલિફોનથી માંડીને સ્માર્ટ ફોન સુધીની યાત્રા પણ એનું એક દૃષ્ટાંત છે. વિજ્ઞાન-ટેક્નોલોજીની જેમ કળાના વિવિધ ક્ષેત્રમાં પણ અલગ રીતે નવું નવું કરતા રહેવાની તીવ્ર ઇચ્છા નવાં સર્જનાત્મક આયામ સુધી લઈ જાય છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
એકદમ સાચી વાત્
અવલોકન… કુતૂહલ……સંશોધન…..કલ્પના….પ્રયોગ…..શોધ.
LikeLike
વિનેશ ભાઈના આભાર સાથે …..
https://gadyasoor.wordpress.com/2023/02/07/inquisitiveness
LikeLike