દીપક ધોળકિયા
૧૮૫૭નું રણશિંગું ફુંકાઈ ગયું હતું ત્યારે ઈસ્ટ ઇંડિયા કંપનીને અજાણ્યે ખૂણેથી વિદ્રોહનો સામનો કરવો પડ્યો. સાત હજાર ભીલો નાશિક અને અહમદનગર વચ્ચે એકઠા થયા. પાડોશમાં નિઝામનું રાજ્ય હતું ત્યાંથી કોઈ હુમલો ન થાય તે માટે સરહદે અંગ્રેજી ફોજ ગોઠવાયેલી હતી. મોટાં શહેરો પર ભીલો હુમલા કરી શકે છે એવા સમાચાર પણ હતા એટલે બ્રિટિશ સેના સાવધ હતી. ભીલોને દબાવવાની મુખ્ય જવાબદારી પોલીસ દળની હતી અને એક વખતના વિદ્રોહી કોળીઓ હવે અંગ્રેજોના વફાદાર સિપાઈ બનીને ભીલો સામે ગોઠવાયેલા હતા. આ વખતે ભગોજી નાયકે ભીલોને સંગઠિત કરવાની શરૂઆત કરી. ભગોજી પહેલાં અહમદનગરના પોલીસ ખાતામાં અફસર હતા પણ ૧૮૫૫માં એમને બળવો કરવા અને સરકારી કામમાં દખલ દેવા માટે જેલની સજા કરવામાં આવી હતી પણ જેલમાં સારી વર્તણૂક બદલ એમને છોડી મૂકવામાં આવ્યા હતા. એક વર્ષ સુધી તો એમને પોતાના જામીન આપવા પડ્યા પણ વર્ષ પૂરું થયું ત્યારે કંપની સરકારે ગામડાંઓમાંથી લોકોનાં હથિયારો લઈ લેવાનો હુકમ કરી દીધો હતો.

આથી ભગોજીને લાગ્યું કે ગામ છોડી દેવું જોઈએ. એ ત્યાંથી નીકળી ગયા. પણ એમની અસર બહુ સારી હતી એટલે ભીલો એમની વાત માનતા. એમણે તરત પચાસ જણને એકઠા કર્યા અને પૂણે-નાશિક રોડ પર અડ્ડો જમાવ્યો.
એક અંગ્રેજ ઑફિસરે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ભીલોની સ્ત્રીઓ પણ પુરુષો જેવી જ છે અને અશાંતિ ફેલાવે છે. આ જ સ્ત્રીઓ બળવાખોરોને ખાવાપીવાનો સામાન પહોંચાડે છે, એટલું જ નહીં, પોતે પણ લડવામાં પાછીપાની નથી કરતી. એટલે જ્યાં સુધી ભગોજી અને બીજા નાયકો પકડાય નહીં ત્યાં સુધી સ્ત્રીઓને બાન પકડી લેવી જોઈએ!
જો કે એમણે એવું તો ન કર્યું પણ ભગોજી સાથે વાતચીત કરવા માટે એક ટુકડી મોકલી. ભગોજીએ ના પાડી અને કહ્યું એક એમનો બે વર્ષનો ચડત પગાર સરકાર ચૂકવી આપશે તો એ હથિયાર હેઠાં મૂકી દેશે. એટલે હવે પોલીસ ટુકડી મોકલવાનું નક્કી થયું. એ નજીક આવે અને કંઈ કરી શકે તે પહેલાં જ વિદ્રોહીઓએ હુમલો કરી દીધો, કંપનીની ટુકડીનો એક સિપાઈ ત્યાં જ મરણ પામ્યો. ટુક્ડીના સરદાર લેફ્ટેનંટ હેનરીને પણ તીર વાગ્યું અને એ ઘાયલ થઈ ગયો. તેમ છતાં એ આગળ વધ્યો. ત્યાં તો એક તીર એને છાતીમાં વાગ્યું અને ઢળી પડ્યો. હવી લેફ્ટેનન્ટ થૅચરે ટુકડીનું સુકાન સંભાળી લીધું. એના હુમલા સામે ભીલોના પગ ઊખડી ગયા.
પણ ભીલોને હારતા જોઈને આખી ભીલ કોમ ઊકળી ઊઠી. એ વખતે પાથરજી નાયકે એકસો ભીલોને એકઠા કર્યા. જો કે એક હિન્દી ડેપ્યુટી કલેક્ટરના સમજાવવાથી એ ભીલો શરને આવી ગયા.
આ બાજુ ભગોજીએ લડાઈ ચાલુ રાખી. પણ અંગ્રેજોએ કોળીઓની મદદથી એમનો સામનો કર્યો. ૧૮૫૯ સુધી ભીલો હુમલા કરતા રહ્યા. ૧૮મી ઑક્ટોબરે કોળીઓના વળતા જવાબમાં ભગોજીના દીકરા યશવંત અને બીજા એક ભીલ નેતા હરજી નાયક માર્યા ગયા. તે પછી પણ ભગોજીએ ૨૬મી ઑક્ટોબરે કોપરગાંવના કોઢાલા ગામને લૂંટી લીધું. અંતે ૧૧મી નવેંબરે ભગોજીના ભીલો અને સરકારી ટુકડી વચ્ચે હાથોહાથની લડાઈ થઈ. એમાં ભગોજી અને એમના કેટલાયે સાથીઓનાં મોત થયાં. આમ બળવાનો અંત આવ્યો.
0x0x0
૧૭૫૭થી માંડીને ૧૯૪૫ સુધી આદિવાસીઓ અને સામાન્ય માણસોએ સાઠ જેટલા બળવા કર્યા, બધા વિશે લખી શકાય એવી આધારભૂત માહિતી પણ નથી મળતી. એટલે આપણે આવતા અંકમાં આદિવાસીઓના સૌથી પ્રખ્યાત નેતા બિરસા મુંડાએ ૧૮૯૯માં કરેલા વિદ્રોહની નોંધ લઈશું અને તે પછી ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામના બહાદુરોને યાદ કરીશું.
0x0x0
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
સરસ માહિતી. લખ્યા પ્રમાણે ભીલ અને કોળી વર્ગના જુમલાઓ વિશેની માહિતી અપ્રાપ્ય છે, પણ ગુજરાતની વિવિધ લાઇબ્રેરીઓમાં કદાચ ક્યાંય એ માહિતી મળી પણ આવે. ભીલ પ્રજા આમ તો શહેરો થી દૂર જ રહે છે અને એમાં જ તેમનું શ્રેય માને છે, પણ રોગચાળો, અને અસામાજિક તત્વો તેમને પણ હેરાન તો કરે જ, ખાસ કરી સંભળાય છે કે તેમના પર મુસ્લિમ બની જવાના ઘણા પ્રયાસો મુસ્લિમ કોમ અને જિહાદી તત્વોએ સફળતાથી કરેલા છે. કોઈ એના પર પણ પર્દાફાશ કરે તે ઈચ્છું છું.
LikeLike