વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

વિવિધ વિષયોના લેખો

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪૬

ચિરાગ પટેલ

उ. १४.४.७ (१५३०) अग्ने नक्षत्रमजरमा सूर्यँरोहयो दिवि । दधज्ज्योतिर्जनेभ्यः ॥ (केतु आग्नेय)

હે અગ્નિદેવ! સર્વેને પ્રકાશ આપતાં, ક્ષીણ ન થનારા અને સદૈવ ગતિશીલ, સૂર્યને અંતરિક્ષમાં સ્થાપિત કરો.

આ સામમાં ઋષિ સૂર્ય અંગે જે વિશેષણો પ્રયોજે છે એ ધ્યાનાકર્ષક છે. સૂર્ય સર્વેને પ્રકાશ આપનાર છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે સૂર્ય જ પ્રકાશનો સ્ત્રોત છે. વળી, સૂર્ય ચંદ્રની જેમ ક્ષીણ નથી થતો. ભલે, રાત્રિસમયે કોઈ સ્થળ પર સૂર્ય દેખાતો નથી પણ એ ગતિશીલ હોવાથી અન્યત્ર તો દૃષ્ટિગોચર છે જ. વળી, અગ્નિને કારણે જ સૂર્ય અંતરિક્ષમાં સ્થાપિત છે. અર્થાત, અંતરિક્ષમાં સ્થાપિત સૂર્યનો પ્રકાશ અગ્નિને લીધે છે.

उ. १५.२.२ (१५४७) कृष्णां यदेनीमभि वर्पसाभूज्जनयन्योषां बृहतः पितुर्जाम् । उर्ध्वं भानुँसूर्यस्य स्तभायन् दिवो वसुभिररतिर्वि भाति ॥ (त्रित आप्त्य)

આ અગ્નિદેવ પિતાથી ઉત્પન્ન થઈને સ્ત્રીરૂપી ઉષાને પ્રગટ કરી, અંધારી રાતને પોતાની જ્વાળાઓથી હરાવે છે. એ સમયે ગતિશીલ અગ્નિ દ્યુલોકમાં પોતાના તેજથી સૂર્યના પ્રકાશને ઉપર જ રોકીને જાતે પ્રકાશિત થાય છે.

આ સામમાં સૂર્યના કારણરૂપ અગ્નિ હોવા છતાં સૂર્ય અગ્નિના પિતા છે એમ ઋષિ જણાવે છે. અગ્નિ એટલે કે ઉષ્માથી સૂર્યની આંતરિક પ્રક્રિયાનો પ્રારંભ થયો અને એ પ્રક્રિયા વળી નવી ઉષ્મા અને પ્રકાશ જન્માવે છે. સૂર્યપ્રકાશમાં સ્થિત અગ્નિ કિરણો સાથે ગતિ કરે છે. આ કિરણો વાતાવરણના ઉપલા સ્તરમાં વિખેરણ પામીને વાતાવરણ અજવાળે છે. જો વાતાવરણ ન હોય તો અંધારા કળા પશ્ચાદભૂમાં સૂર્ય મોટા પ્રકાશિત ગોળા સમાન દેખાતો હોત, અત્યારના આપણાં દિવસને અજવાળતા ભૂરા આકાશ સમાન નહીં!

उ. १६.२.४ (१५८८) इन्द्रो मह्ना रोदसी पप्रथच्छव इन्द्रः सूर्य मरोचयत् । इन्द्रे ह विश्वा भुवनानि येमिरे इन्द्रे स्वानास इन्दवः ॥ (मेध्यातिथि काण्व)

ઇન્દ્રએ પોતાના સામર્થ્યથી દ્યુલોક અને પૃથ્વીને વિસ્તૃત બનાવ્યાં, સૂર્યને પ્રકાશયુક્ત કર્યો, બધાંને આશ્રય આપ્યો. એવા ઇન્દ્ર માટે જ આ સોમરસ સમર્પિત છે.

આ સામમાં ઋષિ પૃથ્વી અને વાતાવરણની તે સામેની સ્થિતિ માટે ઇન્દ્રને શ્રેય આપે છે. વળી, ઋષિ કહે છે કે, સૂર્યને પ્રકાશિત કરનાર અને સર્વેને આશ્રય આપનાર પણ ઇન્દ્ર જ છે. વેદોમાં અનેક ઠેકાણે વિદ્યુતસહિતના મેઘને ઇન્દ્ર તરીકે ઋષિઓ સંબોધે છે. આવાં મેઘ દ્યુલોકની ઊંચાઈ બતાવે છે. પ્રાચીન પૃથ્વીમાં જ્યારે વાતાવરણ ગરમ થયું હશે મેઘ બનવાનો આરંભ થયો ત્યારે મેઘ બનવાનો આરંભ થયો હશે અને હિમયુગ સમાપ્ત થયો હશે. એટલે, ભૂમિનો હિમ કે પાણીથી ઢંકાયેલો ભાગ સપાટી ઉપર આવ્યો હશે. એટલે, એમ કહી શકાય કે, ઇન્દ્રને લીધે દ્યુલોક અને પૃથ્વી વિસ્તૃત થયાં. મેઘ અને વાતાવરણ સૂર્યના ઘાતક કિરણોથી જીવસૃષ્ટિને બચાવે છે.

उ. १७.१.६ (१६२२) वृषा यूथेव वँसगः कृष्टीरियर्त्योजसा । ईशानो अप्रतिष्कुतः ॥ (मधुच्छन्दा वैश्वामित्र)

સર્વના સ્વામી, અમારી વિરુદ્ધ કાર્ય ન કરનાર, શક્તિમાન, ઇન્દ્ર, પોતાના સામર્થ્ય પ્રમાણે અનુદાન વહેંચવા, જેમ સાંઢ ગાયોના ટોળામાં જાય છે, તેમ મનુષ્યો પાસે જાય છે.

આ સામના દેવતા ઇન્દ્ર છે પરંતુ ઋષિ સૂર્યનું વર્ણન કરે છે. ઇશાન શબ્દ રુદ્ર અને સૂર્ય બંને માટે પ્રયોજાય છે. સૂર્ય પૃથ્વી પરની જીવસૃષ્ટિના પિતા અને પાલક છે. પોતાના કિરણોરૂપી ગાયોના ટોળામાં વૃષભ સમાન સૂર્ય રહે છે.

उ. १७.१.९ (१६२५) किमित्ते विष्णो परिचक्षि नाम प्र यद्ववक्षे शिपिविष्टो अस्मि । मा वर्पो अस्मदप गूह एतद्यदन्यरुपः समिथे बभूथ ॥ (वसिष्ठ मैत्रावरुणि)

કિરણોયુક્ત હું છું એ પ્રમાણે સર્વવ્યાપી ભાવવાળું આપનું સ્વરૂપ નિઃસંદેહ પ્રખ્યાત છે. એવા સ્વરૂપને અમારાથી છુપાવી ના દો, કારણ કે, સંગ્રામમાં અન્ય રૂપ ધારણ કરવા છતાંય તમે અમારા સંરક્ષક બની રહો છો.

આ સામમાં વિષ્ણુ શબ્દ સર્વવ્યાપી સૂર્ય માટે પ્રયોજાયો છે. સૂર્યના કિરણો સમગ્ર પૃથ્વી પર વ્યાપ્ત છે અને કિરણોયુક્ત એટલે કે પ્રકાશિત એવું સૂર્યનું આ એક સ્વરૂપ છે. જ્યારે રાત્રીનો અંધકાર હોય ત્યારે ચંદ્રમા અને નક્ષત્રો દ્વારા સૂર્ય અન્ય સ્વરૂપે ઉપસ્થિત હોય છે. આ સ્વરૂપમાં પણ સૂર્ય પોતાની રક્ષા કરે એમ ઋષિ ઈચ્છે છે.


શ્રી ચિરાગ પટેલનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-  chipmap@gmail.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: