-
મોંઘી પડી શકતી ભુલના ઉપાયનો કિસ્સો
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
એક વાર, સદા ધમધમતી રહેતી એક સોફ્ટવેર કંપનીનાં શિરમોર ઉત્પાદનનાં એક રીલીઝના થોડા દિવસો પહેલાં જ એક મહત્ત્વનું બગ ધ્યાન પર આવ્યું.
આખી ટીમમાં દાવાનળ પેઠે ગભરાટ ફેલાઈ ગયો. બગ ઘણો જટિલ હતો અને સમય ઝડપથી સરી રહ્યો હતો.
ધડાધડ ડીબગીંગ અને થાગડથીગડ કરવાના બધા ઉપાયો કામે લગાડી જોવામાં આવ્યા.
પણ હઠયોગીની જેમ બગ ફરી ફરીને આવતો જ રહેતો હતો. જેમ જેમ સમયમર્યાદા નજદીક આવવા લાગી તેમ તેમ ટીમમાં હતાશાનો પારો ચડવા લાગ્યો.
તાકડે એ જ સમયે વરિષ્ઠ ડેવલપરોમાંની, જયા આવી પહોંચી. વ્યવસ્થિત સમસ્યા સમાધાન અપનાવવાનો નવો અભિગમ અપનાવવાનું તેણે સુચન કર્યું. તેણે ટીમને એકઠી કરી અને પોતાની યોજના બધાંને સમજાવી.
૦૧. સમસ્યાની સ્પષ્ટ વ્યાખ્યા : ટીમે બગ સાથે સંકળાયેલા કોડ્સનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ક્યારે ક્યારે એ બગ દેખા દેતો હતો તે પણ ખોળી કાઢ્યું, આ બન્ને અભ્યાસના પરિણામોને સાંકળીને સમસ્યાને સ્પષ્ટ કરી.
૦૨. માહિતી સામગ્રીનું એકત્રીકરણ અને આકલન : જે જે પ્રસંગોએ બગ દેખા દેતો હતો તેનું વર્ગીકરણ કરાયું, એ દરેક પ્રસંગે કયાં કારણોથી બગ દેખા દેતો હતો અને તે તે સમયે મૂળ ઍપ અને વપરાશકારની સમગ્ર તંત્રવ્યવસ્થાની પરિસ્થિતિ શું શું હતી એ બધી માહિંતી સામગ્રીને સાંકળીને સંભવિત કારણોની યાદી બનાવાઈ.
૦૩. પૂર્વધારણાઓનું ગઠન : એકત્ર કરાયેલી અસરો અને સભવિત કારણો પર ટીંમે વિચારમંથન કર્યું અને અમુક પૂર્વધારણાઓ તારવી
૦૪. પૂર્વધારણાઓની ચકાસણી : દરેક ચલ પરિબળોને અલગ અલગ કરીને તે મુજબ એક એક પૂર્વધારણાઓની વ્યવસ્થિતપણે ચકાસણી કરાઈ અને તેના પરથી હજુ વધારે માહિતી સામગ્રી એકઠી કરાઈ.
૦૫. તારણો માટેની નિર્ણય પ્રક્રિયા : જેટલી પણ માહિતી સામગ્રી એકઠી કરાઈ હતી અને જે અભ્યાસો કરાયા હતા તેનું હવે આકલન કરાયું અને જે પૂર્વધારણાઓ સાધાર કારણભૂત નહોતી જણાતી તેને બાજુએ કરી દેવાઈ.
૦૬. ઉપાયોનું અમલીકરણ : આ બધી ‘ગડમથલ’ને અંતે ટીમ મૂળભૂત કારણ વિશે સહમત થઈ, અને તેને લગતાં સુધારણા પગલાંઓ માટે સમયબદ્ધ આયોજન ગોઠવાયું. દરેકને ફાળે આવતું કામ કરવામાં ટીમના સભ્યો લાગી ગયા..
બગ બરાબર સાફ થઈ ગયો અને રીલીઝ પણ કોઈ જ પ્રકારની ગૂંચ વિના પાર પડી શક્યું. જે ભારે નીચાજોણું અને બહુ મોટી, મોંઘી પડે એવી, નિષ્ફળતા બની શકે તેમ હતું તે હવે એક મૂલ્યવાન પદાર્થપાઠ બની ગયું હતું.
પદ્ધતિસરની સમાસ્યા સમાધન પ્રક્રિયાએ બધું સમુંસુતરૂં પાર પાડવા માં બહુ મોટી મદદ કરી !
→ જ્યારે કોઈ નાહિમ્મત કરી દે તેવો પડકાર સામે આવી ઊભે, ત્યારે જે હાથમાં હોય તે હથિયાર ગણીને એ ઉપાય લાગુ કરવાની ઉતાવળ ન કરવી. પદ્ધતિસરની વિચારણાનો અભિગમ અપનાવવો.
ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, The Case of the Costly Errorનો અનુવાદ
પાદ નોંધ : સમસ્યા સામે આવી ઊભી હોય ત્યારે તમે એ બાબતે લાગણીવશ ન બની ગયાં હો તો વ્યવસ્થિત સમસ્યા સમાધાન પ્રક્રિયાનો ઉપયોગ તમે જાતે જ કરી શકો. પણ લાગણીવશ થવાને કારણે તમને નિષ્પક્ષ તાર્કિકતા સાથે સમાધાન થવાની સંભાવના લાગે તો બીજી વ્યક્તિની મદદ લેવી સારી. બીજી વ્યક્તિની પસંદગીમાં પણ વ્યવસ્થિત સમાધાન પ્રક્રિયાનો જ દૃષ્ટિકોણ રહેવો જોઈએ એમ કહેવું હવે અપ્રસ્તુત જ લાગવું જોઈએ 😊
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
સગવડદાયક નિષ્ક્રિયતા સાથે કામ લેવા માટેનો નેતૃત્વનો અને અગ્રણીનો દૃષ્ટિકોણ
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
જોહ્ન એફ. કેનેડીનાં ઘણાં કથનો મને આજની મૅનેજેમૅન્ત વિચાર્સરણીના સંદભમાં પણ બહુ પસંદ છે. જે પૈકી એકમાં તેઓ કહે છે કેઃ
“કોઈ પણ કામના અમલમાં જોખમો હોય જ છે. એ કામોની કંઈને કંઈ કિંમત પણ ચુકવવી પડતી હોય છે.. પરંતુ , સગવડદાયકક નિષ્ક્રિયતાનાનાં લાંબા ગાળાના જોખમો અને ચુકવવી પડતી કિંમત કરતાં તે ઘણાં ઓછા ઓછું નીવડતું હોય છે.”
સગવડદાયક નિષ્ક્રિયતા એવી સ્થિતિ છે જેમાં તે સમયે પગલાં ન લેવાની કોઇ તાત્કાલિક અસર દેખાતી નથી, પરંતુ લાંબા ગાળે, તે મોંધી પડે જ છે. સગવડદાયક નિષ્ક્રિયતા (ખાસ કરીને નેતૃત્વના હોદ્દા પરના લોકો દ્વારા) સંસ્થાના વિકાસ માટે વાસ્તવિક અર્થમાં પ્લેગ બની શકે છે. પોતપોતાનાં કાર્યસ્થળોએ લોકો સગવડદાયક નિષ્ક્રિયતાનો ઉપયોગ કેવી કેવી કરે છે તેના કેટલાક ઉદાહરણો અહીં પ્રસ્તુત છે:
- તેઓ તમારી દરખાસ્ત સાથે અસંમત ન હોય, પરંતુ તેના વિશે કંઈ કરતાં નથી.c
- તેઓ દરખાસ્ત સાથે સંપૂર્ણપણે સંમત છે, પરંતુ તેમ છતાં તેના વિશે કંઈ કરતાં નથી.
- તેઓ જે કંઈ કરે એ બધું નાના નાના, છ્ટાછવાયા, ટુકડાઓમાં કરે , એટલે કામ લ્યારેય પુરૂં તો થયું જ ન હોય.
- તેઓ કોઇ પણ પહેલ શરૂ થાય તે પહેલાં જ તેની નિષ્ફળતાની આગાહી કરે છે, અને પછી એ પહેલ નિષ્ફળ થવાની રાહ જોતાં બેસી રહે છે.
- તેઓ હવે જે જરૂરી છે તે ન કરવા માટેનાં એક કારણ તરીકે કોઈ બીજાં બીજાં કારણો રજૂ કર્યા કરશે. કેટલીક વાર, તેઓ કામ કરશે તો નહીં પણ તે માટે કોઈપણ કારણો આપવા માટે તસ્દી પણ લેશે નહીં.
- તેઓ યથાસ્થિતિ જાળવી રાખવા માટે ઉલટભેર કામ કરશે.
- તેઓ સમસ્યાઓ ઉકેલવા કરતાં વાતચીત કરવામાં વધુ સમય વિતાવે છે.
- તેઓ આયોજન કરવામાં, પરિણામનાં અનુમાનો લગાવવામાં અને વિશ્લેષણ કર્યા કરવામાં ઘણો સમય વિતાવી નાખતાં હોય છે.
- તેઓ વાસ્તવિક સમસ્યાનો સામનો કરતા નથી, પરંતુ સમસ્યાની આસપાસ કામ કરતાં હોય એવો દેખાડો કરે છે.
કહેવાનો ભાવાર્થ તમે સમજી જ ગયાં હશો. જ્યારે પણ બાબતો પૂર્ણ થતી નથી, જ્યારે ખરેખરનાં કામ થતાં નથી, જ્યારે સમસ્યાઓ વધતી રહે છે, ત્યારે સંસ્થાએ તો એ બધાંની મોટી કિંમત ચૂકવવી પદે છે. તે ન મેળવી શકાયેલ સોદો હોઈ શકે છે, વિલંબને કારણે ખર્ચમાં થયેલો વધારો કે ઉત્પાદકતામાં ઘટાડો હોઈ શકે છે. ઘણી વાર પ્રત્યક્ષપણે કે ટુંકે ગાળે ભલે કંઈ અસર કરતું ન દેખાય, પણ સગવડદાયક નિષ્ક્રિયતા કંઈને કંઈ કિંમત તો લઈ જ જાય છે.
અને છેલ્લેઃ
અગ્રણીઓ (અને વ્યાવસાયિકો) નું મહત્ત્વ અને મૂલ્ય તેઓ જે પરિણામો મેળવી આપી શકે છે તેના પરથી નક્કી થતું હોય છે – અને તેથી જ, તેઓએ તેમનામાં કે તેમની આસપાસ સગવડદાયક નિષ્ક્રિયતાની હાજરીની નિશાનીઓ વિશે સતત સભાન રહેવાની જરૂર રહે છે. એ પરિસ્થિતિ સાથે કેવો વ્યવહાર કરાશે એ પણ એટલું જ નિર્ણાયક રહે છે. માત્ર એટલું જ નહીં પણ સગવડદાયક નિષ્ક્રિયતા સાથે કેવી રીતે કેવો વ્યવહાર કરવામાં આવે છે તે સંસ્થાના નેતૃત્વ અને સંસ્કૃતિ વિશે ઘણું બધું કહી જાય છે.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
મૃત્યુ પામનાર કોણ? આયાતી? શ્રમિક? કૌશલ્યવિહીન? કે નાગરિક?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
મૃત્યુ અણધાર્યું આવતું હોય છે, પણ તે અકસ્માતરૂપે આવે, અને એ અકસ્માત આગનો હોય ત્યારે એવા મૃત્યુની પીડા પારાવાર હોય છે. રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગ પછી વહીવટી તંત્ર દોડતું થયું, અને રાબેતા મુજબ તમામ ગેમઝોનને બંધ કરવાનો આદેશ ફરમાવ્યો.
૧૨ જૂન, ૨૦૨૪ના રોજ કુવૈતની એક ઈમારતમાં લાગેલી પ્રચંડ આગમાં ૪૯ લોકો ભૂંજાઈ ગયા, જેમાંના ૪૫ ભારતીયો હતા. મૃતક ભારતીય હતા એટલે આપણાં અખબારોમાં સમાચાર ચમક્યા. સાત મજલી ઈમારતમાં આગ પરોઢે ચારેક વાગ્યે લાગેલી. તેમાં રહેતા તમામ ૧૯૬ લોકો ઊંઘમાં હતા. ગાઢ, કાળા ધુમાડાને કારણે લોકો ગૂંગળાવા લાગ્યા. ૧
આટલી વિશાળ સંખ્યામાં થયેલા મૃત્યુના સમાચાર પ્રસર્યા એટલે રાબેતા મુજબ મૃતકોનાં સ્વજનોને શોકસંદેશા અને મૃતકોને શ્રદ્ધાંજલિની રસમ શરૂ થઈ. કુવૈતના શેખે તત્કાળ તપાસનો અને જવાબદારો સામે પગલાં લેવાનો આદેશ આપ્યો.
પ્રાથમિક તપાસમાં એ શક્યતા જણાઈ કે રૂમ તેમજ અપાર્ટમેન્ટ વચ્ચે પાર્ટિશન તરીકે વપરાયેલી સામગ્રી જ્વલનશીલ પદાર્થની હતી, જેને કારણે ગાઢ કાળા ધુમાડા થયા. તેને કારણે લોકો ગૂંગળાયા અને નીચે તરફ દોટ મૂકી. તેઓ ઉપર ધાબે ન જઈ શક્યા, કેમ કે, ધાબાના બારણે તાળું મારેલું હતું. મકાનના ભોંયતળિયે કદાચ વાયુ લીક થયો હોવાથી આગ શરૂ થઈ હોવાનું મનાય છે.
અહેવાલ અનુસાર અગ્નિશમન દળે પહોંચતાંની દસેક મિનીટમાં જ અગ્નિને કાબૂમાં લઈને મોટી સંખ્યામાં શ્રમિકોનો બચાવ કર્યો હતો. આગ લાગવાનાં કારણ અંગે પછી તપાસ કરતાં જણાયું હતું કે ઈમારતના ભોંયતળિયે રાંધણગેસના બે ડઝન જેટલાં સિલીન્ડર હતાં.
દવાખાને દાખલ કરાયેલા શ્રમિક પૈકીના એક ઈજિપ્શિયન કામદારે જણાવ્યું કે અગ્નિશમન દળની મદદ લઈને ઈમારતમાંથી બહાર નીકળતાં તેને બે કલાક જેટલો સમય લાગ્યો હતો. તેણે એમ પણ જણાવ્યું કે નીચે ઊતરતી વખતે બળી ગયેલાં અનેક શબ તેની નજરે પડ્યાં હતાં. આ ઈમારતમાં ભારતીય શ્રમિકો મોટી સંખ્યામાં હતા. એ ઉપરાંત થોડા પાકિસ્તાની અને ફીલીપીન પણ ખરા.
આ દુર્ઘટનાને પગલે બનાવ સાથે સંકળાયેલા તમામ ઉચ્ચ અધિકારીઓને ફરજમોકૂફ કરવાનો આદેશ અપાયો છે. ઉપરાંત આ તેમજ અન્ય ઈમારતોમાં સલામતિનાં ધોરણોનો ક્યાં ભંગ થઈ રહ્યો છે એની તપાસ કરવામાં આવી રહી છે. મૃતાંકની દૃષ્ટિએ આગની આ દુર્ઘટના કુવૈતમાં દ્વિતીય સ્થાને આવે છે. આ અગાઉ ૨૦૦૯માં જાણીબૂઝીને લગાવાયેલી એક આગમાં ૫૬ લોકો બળી મર્યા હતા.
હવે સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોનો જમાનો છે. આને લઈને અનેક લોકો સત્તાવાળાઓના વલણ પર પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સલામતિના પગલાંનો ભંગ કરનાર સામે પગલાં લેવાની માગણી થઈ જ રહી છે, સાથોસાથ બિનકુશળ શ્રમિકોને કામે રાખવા તેમજ તેમનું શોષણ કરનાર સામે કાર્યવાહી કરવાની માગણી છે. એક ભૂતપૂર્વ મંત્રીએ જણાવ્યું છે કે આ દુર્ઘટના નિમિત્તે આવી તમામ ગેરરીતિઓ સામે તપાસ થવી જોઈએ.
કાનૂન ઘડવાની પ્રક્રિયા સાથે સંકળાઈ ચૂકેલા એક ભૂતપૂર્વ અધિકારીએ આક્ષેપ મૂકતાં કહ્યું કે શ્રમિકોને ગેરકાયદે દેશમાં ઠાલવવાની પ્રક્રિયાએ સરકારની બેપરવાઈને કારણે વેગ પકડ્યો છે. આવી બાબતો પર સરકાર પૂરતી દેખરેખ રાખી શકતી નથી તેને કારણે આવાં ભયાવહ પરિણામ મળે છે. સરકાર આવા લોકોને જવાબદાર નહીં ઠેરવે અને કાનૂનનો કડક અમલ શરૂ નહીં કરે, માનવબળની સમસ્યાનો કોઈ વ્યવહારુ ઊકેલ નહીં શોધે તો આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેશે. તેનો ભોગ કેવળ ગરીબો જ બનતા રહેશે અને સમાજે તેની કિંમત ચૂકવવી પડશે.
અન્ય એક કાનૂની સલાહકારે કહ્યું કે ‘ઈશ્વરનો જેને ડર નથી એવા’ વ્યાવસાયિકના લોભ-લાલચ અને સત્તાવાળાઓની બેદરકારીને કારણે આટલા બધા લોકોએ જાન ગુમાવવા પડ્યા. વિદેશથી આવેલા શ્રમિકોનું તેમના સ્પોન્સર દ્વારા કરવામાં આવતા દમન સામે રક્ષણ કોણ કરશે?
એક સહાયક પ્રાધ્યાપકે જણાવ્યું કે આ કમનસીબ બનાવ કુવૈતના રીઅલ એસ્ટેટના ખેરખાંઓના લોભ-લાલચ તેમજ કાનૂનની ઐસીતૈસી કરવાના વલણને ઊજાગર કરે છે. સાથે જ તે કાનૂનપાલન બાબતે સરકારી તંત્રની નિષ્ફળતા પણ સૂચવે છે.
આ દુર્ઘટના અતિ કરુણ છે અને મૃતકોના જીવનનું વળતર ગમે એટલું અંકાય પણ ઓછું જ છે. આમ છતાં, તેનાથી વધુ કરુણ પરિસ્થિતિ છાપરે ચડીને પોકારે છે એ છે વિદેશી શ્રમિકોનું શોષણ અને તેમની સલામતિ પ્રત્યેની બેપરવાઈ. પોતાને દેશથી કમાણીની આશાએ આવેલા શ્રમિકોનું એક જ ધ્યેય હોય છે- સખત મહેનત કરીને નાણાં રળવા અને સરખી રકમ થાય એટલે પાછા સ્વદેશ ચાલ્યા જવું. આયાતી શ્રમિકોની આ માનસિકતાનો પૂરેપૂરો લાભ સ્થાનિક કંત્રાટીઓ ઉઠાવતા હોય છે. ઓછું મહેનતાણું ચૂકવીને તેમનું શોષણ કરવું સામાન્ય બાબત છે. આમ તો, આ પરિસ્થિતિ જાહેર છે, પણ મોટે ભાગે એની સામે આંખ આડા કાન કરાતા હોય છે. ધારે તો કાનૂન દ્વારા આ પરિસ્થિતિને કાબૂમાં લાવી શકાય, પણ એ માટે ઈચ્છાશક્તિ જોઈએ. કુવૈત જેવો વિકસીત અને કાનૂનનો પાબંદ દેશ સુદ્ધાં આમાંથી બાકાત નથી એ જાણીને નવાઈ લાગે છે તેમજ ઉદાસી પણ અનુભવાય છે.
સમગ્રપણે જોતાં એક બાબત ઊડીને આંખે વળગે છે અને તે એ કે સત્તાધીશોને મન નાગરિકોના જાનની કશી કિંમત નથી. કાયદા બનાવાયા હોય તો એનું પાલન કરવા માટે સુયોગ્ય તંત્ર ગોઠવાયેલું હોય છે. આ તંત્ર શિથિલ બને એનો સીધો અર્થ એ કે તે ભ્રષ્ટાચારી છે. બનેલા કાયદાનું પાલન ન થાય એનો સીધો અર્થ એ જ થાય.
તંત્ર સૌને એક સમાન નાગરિક બનવાનું શરૂ ત્યારે જ કરે જો આપણે સૌ નાગરિકો પણ એમ કરીએ. લખવામાં સરળ જણાતી આ વાત અમલમાં કેટલી અઘરી અને અશક્યવત્ છે એ પણ આપણે સૌ જાણીએ જ છીએ.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૭ – ૦૬ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
૧
નોંધ : સાંદર્ભિક વિડીયો યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધેલ છે
-
દર્દેદિલી
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
રીડર્સ ડાયજેસ્ટમાં જેની નોંધ લેવાઇ છે એવા એક ડૉક્ટરની અહીં વાત કરવી છે.
જેનું બાળપણ જર્મનીમાં વિત્યું, પિતાના મૃત્યુ બાદ માતા સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાયી થયેલા આ કિશોરને સ્કૂલમાં કેટલાક અન્યાયનો સામનો કરવો પડ્યો અને જેના લીધે એ છોકરાને ખુબ આઘાત લાગ્યો અને પરિણામે એ આત્મઘાતી બનીને પોતાની જાતને ખતમ કરવા સુધી પહોંચી ગયો. પરંતુ એના નસીબ પાધરા કે ફરી એ સાવ સાજો-સારો થઈને માનસિક સમતુલન પાછું મેળવી શક્યો. હન્ટર પેચ ઍડમ્સ એનું નામ.
દરેકના જીવનમાં એક એવો વળાંક આવે છે કે જે એનું જીવન અને જીવન પ્રત્યેના અભિગમ બદલી નાખે. એણે મેડિકલ ભણવાનું શરૂ કર્યું. ડૉક્ટર બન્યો.
પેચ ઍડમ્સની ઓળખ હવે ડૉક્ટર હન્ટર પેચ ઍડમ્સ બની. એમની પાસે સૌથી પહેલો કેસ આવ્યો એક ચૌદ વર્ષની છોકરીનો. કેન્સરના ટર્મિનલ સ્ટેજે પહોંચેલી, કારમી વેદનાથી પીડાતી આ છોકરી કોઇ દવા કે ઇન્જેકશન લેવા તૈયાર જ નહોતી. છોકરીને બચાવી શકાય એવી કોઇ શક્યતા તો હતી જ નહીં પણ એને વેદનામાંથી મુક્તિ મળે એવું તો કંઇક કરવું જોઇએ ને? અમેરિકામાં પેઇન મૅનનેજમૅન્ટનું મોટું મહત્વ છે. દર્દીનું દર્દ ન મટાડી શકાય તો એને પીડાની અનુભૂતિથી તો મુક્ત કરી શકાય એ વાત સ્વીકારીને એને શાતા મળે એમ કરવામાં આવે છે.
પેલી છોકરીને વેદનાનો અતિરેક ઝંપવા નહોતો દેતો. આ વેદના શમાવવા પણ એને દવા કે ઇન્જેકશન આપવું જ પડે. એ એના રૂમમાં જ કોઇને દાખલ થવા નહોતી દેતી. અંદર આવવા જાય એને જે હાથમાં આવે એનો છૂટો ઘા કરે. હવે?
ડૉક્ટર પેચ ઍડમ્સ ગયા કૅન્ટીનમાં અને ત્યાંથી લાલ ટામેટું લઈ વચ્ચેથી બે ભાગ કરી એને નાક પર સર્જિકલ ટેપથી ચોંટાડ્યું અને બની ગયા ડૉક્ટરમાંથી જોકર. પછી સીધા ગયા પેલી છોકરીના રૂમમાં. છોકરી તો જે આવે એને ઓશીકાના છૂટા ઘા વડે વધાવવા તૈયાર બેઠી હતી. પણ આ શું? બારણા પાસે તો કોઇ ડૉક્ટર કે નર્સના બદલે લાલ નાકવાળો જોકર..
આવી તો એણે કલ્પના પણ નહોતી કરી. આભી બનેલી એ છોકરી સાથે ડૉક્ટર પેચ ઍડમ્સે વાર્તા માંડી. રસથી વાર્તા સાંભળતી છોકરીને ખબર ન પડે એમ ઇન્જેકશન આપી દીધું. સતત ત્રણ દિવસથી પળવાર પણ ન સૂઈ શકેલી એ એકદમ તોફાને ચઢેલી છોકરી તદ્દન શાંત થઈને સૂઇ ગઈ.
રૂમમાંથી બહાર આવેલા ડૉક્ટર પેચ ઍડમ્સને પૂછવામાં આવ્યું કે આવો મુશ્કેલ કેસ એમણે કેવી રીતે સૉલ્વ કર્યો.
એના જવાબમાં હવે સાંભળીએ ડોક્ટર પેચ ઍડમ્સની વાત.
એમણે કહ્યું કે આનાથી વધુ કારમી વાસ્ત્વિકતા મેં અનુભવી છે. જ્યારે તમારી આસપાસનું વાતાવરણ તમને ડહોળી નાખે એમાંથી બહાર નિકળવાના તમે ફાંફા મારતા હો ત્યારે તમને સાંત્વન આપતા એકપણ ભાષણ કે ઉપદેશ કામ આવતા નથી. એવા સમયે આપણી વાસ્તવિકતાને ભૂલી જવા જેવું એકપણ બીજું શસ્ત્ર કામ નથી આપતું. હું જાણું છું કે છોકરીનું કેન્સર હું મટાડી શકું એમ નથી પણ એના દર્દની- વેદનાની થોડી ક્ષણોથી તો હું એને અળગી રાખી શકું ને? અમેરિકન ફિઝિશિયન , કૉમેડીયન અને સોશિઅલ એક્ટિવિસ્ટ , એમ ત્રેવડી ભૂમિકા નિભાવતા ડૉક્ટર પેચ એડમ્સે દર્દીઓને શક્ય એટલી રાહત આપવા વિશ્વભરના સ્વયંસેવકોની એક એવી ટીમ તૈયાર કરી છે જે વિવિધ દેશોમાં જઈને અનાથ, અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓ પાસે જઈને એમનું મનોરંજન કરે.
જ્યારે સમસ્યાનો કોઈ ઉકેલ ન જ હોય એવા સમયે વાસ્તવને ભૂલવું એ જ સૌથી મોટું સુખ છે. એને જ કદાચ સમાધિવસ્થા કહેતા હશે પરંતુ જ્યારે વ્યક્તિ પોતે એમ કરવાની માનસિકતા ન ધરાવતી હોય ત્યારે?
ત્યારે પેચ ઍડમ્સે કર્યું એ આપણે કરવાનું.. દરેક વખતે ડૉકટર બનીને જ ઈલાજ થાય એવું નથી પણ જ્યારે આપણે કોઇના દર્દ-વેદના મટાડી શકીએ એમ ન હોય ત્યારે એનું દર્દ- વેદનાને ભૂલી જાય એવું તો કશુંક કરી શકીએ ને? દરેક વખતે વાસ્તવિકતા વચ્ચે જ જીવવું સહેલું નથી હોતું ત્યારે કોઇની એ વસમી વાસ્તવિકતાને વિસારે પાડી શકે એવું કશુંક તો આપણે કરી શકીએ ને?
કોઇના દુઃખની ક્ષણો દૂર ન કરી શકીએ પણ જો એને હળવી બનાવી શકીએ તો ય ઘણું.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
નવું બહેતર ઇંધણ : ઉદકજન
ડૉ. અશોક મો. દવે
વાહનો અને અન્ય યંત્રોના સંચાલન માટે પેટ્રોલિયમ આધારિત ઇંધણોના વ્યાપક વપરાશે પૃથ્વીના અસ્તિત્વ સામે જ વૈશ્ર્વિક ઉષ્માવૃદ્ધિના રૂપમાં પડકાર ઊભો કર્યો છે, ત્યારે જ પૃથ્વીને તારી શકે એવા એક ઊર્જા-સ્રોતની વાત.
આપણા બ્રહ્માંડમાં બે બાબતો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે : મૂર્ખામી અને હાઈડ્રોજન ! અહીં પહેલી બાબતથી આપણે સુપરિચિત છીએ એટલે બીજી બાબત વિષે ચર્ચા કરીશું.
હાઈડ્રોજન (Hydrogen)ને હિંદીમાં ‘ઉદજન’ અને ગુજરાતીમાં ‘ઉદકજન’ કહેવામાં આવે છે. ‘પાણીમાંથી ઉત્પન્ન થયેલું’ એવો અર્થ અહીં અભિપ્રેત છે.
રસાયણશાસ્ત્રના આવર્તકોષ્ટકમાં ઉદકજનનું સ્થાન પ્રથમ છે. તત્ત્વ તરીકે તેની રાસાયણિક સંજ્ઞા ’ઇં’ છે અને વાયુ તરીકે તેનું રાસાયણિક સૂત્ર ’ઇં૨’ છે. ઉદકજનના મુખ્ય ગુણધર્મો કોષ્ટક : ૧માં દર્શાવેલા છે. અહીં આપણે જે ચર્ચા કરીએ છીએ તે મહદ્અંશે વાયુ તરીકેની છે. ઉદકજનના મુખ્ય ઉપયોગો કોષ્ટક : ૨માં દર્શાવેલ છે.
હરિત ઉદકજન
પ્રયોગશાળા અને કારખાનામાં ઉદકજનનું ઉત્પાદન પાણીની ઈલેક્ટ્રોલીસીસની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. આ ઉત્પાદન માટે વપરાતી વિદ્યુત ઊર્જા જો પુન:પ્રાપ્ય ઊર્જા પ્રકારની હોય તો તેને હરિત ઉદકજન (Green Hydrogen) કહે છે. સૂર્યપ્રકાશ અને પવનચક્કીની મદદથી ઉત્પન્ન થતી વિદ્યુત પર્યાવરણને કાર્બનના ઓક્સાઈડોથી પ્રદૂષિત કરતી નથી એટલે તેને હરિત ઊર્જા (Green Energy) કહે છે.
કોષ્ટક : ૧ ઉદકજનના મુખ્ય ગુણધર્મો
- સામાન્ય પરિસ્થિતિમાં રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન વાયુ.
- ડાયએટોમિક મોલેક્યુલ
- બ્રહ્માંડના ૯૦ ટકા સુધી અસ્તિત્વ
- સૌથી હલકું તત્ત્વ
- ખૂબ જ જ્વલનશીલ વાયુ. હવામાં ૪ થી ૭૪ ટકાની હાજરીથી સળગી ઊઠે છે.
- ગલનબિંદુ : -૨૫૯.૧૬૦ સે., ઉત્કલનબિંદુ : – ૨૫૨.૮૮૦સે. ઘનતા : ૦.૦૦૦૦૮૨ ગ્રામ પ્રતિ ઘન સે.મી.
કોષ્ટક : ૨ ઉદકજનના મુખ્ય ઉપયોગો
- એમોનિયા અને નત્રલ ફર્ટિલાઈઝર્સના ઉત્પાદનમાં.
- વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં.
- મિથેનોલ અને હાઈડ્રોક્લોરિક એસિડના ઉત્પાદનમાં.
- ધાતુના ઓક્સાઈડોના રિડક્શન દ્વારા ધાતુના ઉત્પાદનમાં.
- રોકેટના ઈંધણમાં.
- આધુનિક વાહનોના ઇંધણ તરીકે.
ઇતિહાસ
ઔદ્યોગિક ઉત્પાદનની વાત કરીએ તો સન ૧૯૪૦ પહેલાં ઉદકજનનું ઉત્પાદન કોલસા અથવા કોકમાંથી થતું હતું. ત્યારબાદ એકવીસમી સદીમાં તેનું ઉત્પાદન કુદરતી વાયુ અને નેચરલ ગેસમાંથી સ્ટીમ રીફોર્મિંગની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. સન ૨૦૨૧માં ઉદકજનનું ઉત્પાદન બજાર ૧૩૫.૯ અબજ અમેકિરન ડૉલર જેટલું હતું. જે સન ૨૦૨૩માં ૨૧૯.૨ અબજ અમેરિકન ડૉલર થવાની સંભાવના છે.
ઊર્જા
જીવાશ્મ આધારિત સ્રોતમાં કરવામાં આવતું ઉદકજનનું ઉત્પાદન પર્યાવરણને હાનિકારક છે. વૈકલ્પિક રીતે પાણીમાંથી થતું ઉત્પાદન અનુકૂળ છે. પાણીમાંથી વિદ્યુત-વિભાજન દ્વારા ઉદકજન નીચે મુજબ મેળવી શકાય છે.
પાણી + વિદ્યુત ઊર્જા —-> ઉદકજન + પ્રાણવાયુ
૯ કિલો ૫૦ KWH <—- ૧ કિલો ૮ કિલો
આ પ્રક્રિયામાં વધુ પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે. આ પ્રક્રિયા ઊલટા ક્રમમાં પણ થઈ શકે છે.
ઉદકજનમાં વજનની દૃષ્ટિએ પેટ્રોલ કરતાં લગભગ ત્રણ ગણી વધુ ઊર્જા સંગ્રહિત થયેલી હોય છે. એટલે તે આદર્શ ઈંધણ બની શકે છે. પરંતુ કદની દૃષ્ટિએ તેની ઊર્જા-ઘનતા ઓછી હોય છે. આ ઘનતા વધારવા માટે તેને ઊંચા દબાણે અથવા અત્યંત નીચા તાપમાને સંગ્રહિત કરવો જરૂરી છે.
નવો અભિગમ
ઉદકજનના વ્યાવસાયિક, સસ્તા અને બિનપ્રદૂષિત ઉત્પાદન માટે નવો અભિગમ અત્રે રજૂ કરીએ છીએ.
(૧) સસ્તો કાચો માલ
ઉદકજનના ઉત્પાદન માટે કાચો માલ પાણી છે. શુદ્ધ કરેલું પાણી મોંઘું હોય છે. પરંતુ અહીં સસ્તા પાણીનો વિકલ્પ રજૂ કર્યો છે. બાથરૂમ અને રસોડામાંથી નીકળતા પાણીને ગ્રે વૉટર અને લેટ્રીનમાંથી નીકળતા પાણીને બ્લેક વૉટર કહે છે. હવે પછીના બંધાનારા ફ્લેટ, ઔદ્યોગિક સંકુલ, મોલ વગેરેની પાઈપલાઈનમાં થોડો ફેરફાર કરીને ગ્રે અને બ્લેક વોટરની લાઈનો અલગ કરવી જોઈએ. ગ્રે વોટર એક જગ્યાએ ભેગું કરીને તેને જરૂર મુજબ પ્રાયમરી, સેક્ધડરી વગેરે ટ્રીટમેન્ટ આપવી જોઈએ.
(૨) સસ્તી બાયોટેક્નોલોજી
ઉપર મુજબ સાદી ટ્રીટમેન્ટથી શુદ્ધ કરેલું પાણી એક પ્રતિક્રિયા-કારક યાને રિએક્ટરમાં એકઠું કરીને તેમાં ખાસ પ્રકારના જીવાણુ યાને બેક્ટેરિયાનો નિશ્ર્ચિત ડોઝ ઉમેરીને હલાવવામાં આવે તો જીવાણુની જૈવિક પ્રક્રિયાને કારણે પાણીમાંથી ઉદકજન અને પ્રાણવાયુ છૂટા પડે છે. ત્યારબાદ આ વાયુઓના મિશ્રણને ગેસ સેપરેશન ટૅક્નોલોજીની મદદ વડે છૂટા પાડીને સંગ્રહિત કરી શકાય છે. અહીંથી બંને પ્રકારના વાયુઓના વેચાણ અને ઉપયોગનું નેટવર્ક ગોઠવી શકાય.
ઉદકજન યાને હાઈડ્રોજનનો મુખ્ય ઉપયોગ પરિવહનના ઈંધણ અને ખાસ કરીને કાર માટે થવા જઈ રહ્યો છે. ત્યારે પર્યાવરણને અનુકૂળ હોવા ઉપરાંત તેના અન્ય ફાયદા પણ છે, જે નીચે મુજબ છે :
(૧) કારની ટાંકીમાં પેટ્રોલ જેટલી ઝડપે જ ઉદકજન પણ ભરી શકાય છે. જ્યારે ફક્ત બેટરી આધારિત કારને રિચાર્જ કરવામાં વધુ સમય લાગે છે.
(૨) ઉદકજનવાળી કારની ડ્રાઈવિંગ રેન્જ પ્રમાણમાં લાંબી હોય છે એટલે વારે વારે કાર થોભાવીને રિચાર્જ કરવાની જરૂર પડતી નથી.
(૩) ઉદકજનવાળી કાર વધારે કાર્યક્ષમ, હળવી અને તેજ રફતાર હોય છે. તેનો ટોર્ક પણ બેટરી સંચાલિત કાર જેટલો જ ત્વરિત હોય છે. પરિણામે પિક-અપ જળવાઈ રહે છે.
(૪) સામાન્ય કારમાં વપરાતા ઇન્ટર્નલ કમ્બચ્ચન એન્જિનની રચનામાં જ અમુક ફેરફાર કરીને પેટ્રોલની જગ્યાએ ઉદકજનને ઈંધણ તરીકે વાપરી શકાય તેવું પેટન્ટ ફોર્ડ મોટર કંપનીએ લીધેલું છે.
(૬) ઉદકજન ધરાવતી કાર માટે રેટ્રોફીટ પાર્કીંગ સ્પેસ ઊભી કરવાની જરૂર નથી.
કેટલાક મુદ્દા
(૨.૧) વાયુમિશ્રણને અલગ કરવા માટે પ્રેસર સ્વીંગ ટૅક્નોલોજી તથા ગેસ મેમ્બ્રન ટૅક્નોલોજી અખત્યાર કરી શકાય છે. આ બંને ટૅક્નોલોજીમાં પ્રમાણમાં ઓછી ઊર્જાની જરૂર પડે છે અને તેની ઊર્જા હરિત વિદ્યુતના સોર્સમાંથી પૂરી પાડવી જોઈએ.
(૨.૨) પાણીનું વિઘટન કરનારા જીવાણુઓનું વ્યવસ્થિત સંશોધન કરવું જોઈએ. ભારત સરકારના વિજ્ઞાન અને ટૅક્નોલોજી મંત્રાલય અંતર્ગત અનેક રાષ્ટ્રીય સંશોધન પ્રયોગશાળાઓ સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં આવેલી છે. જીવાણુઓના યોગ્ય સ્ટ્રેઈનની શોધ કરવામાં આપણા વિજ્ઞાનીઓ સક્ષમ છે અથવા ખૂબ ઝડપથી શોધી શકવા માટે સમર્થ છે.
(૨.૩) એક વખત જીવાણુનું યોગ્ય સ્ટ્રેઈન નક્કી થયા પછી તેનું પારંપરિત ઉત્પાદન આપણા રસોડાની દહીં બનાવવાની મેળવણ પદ્ધતિની જેમ કરવાની સંભાવના હોય છે, જે સરળ અને સસ્તી પદ્ધતિ બને છે.
(૨.૪) સદરહુ પ્રોજેક્ટને વ્યાવહારિક સ્વરૂપ આપવા માટે ક્ષેત્ર મુજબ મનપા (મહાનગરપાલિકા) અને આઈઓસી (ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન) વચ્ચે સંકલન અને સમજૂતી સાથે કરાર થવા જોઈએ. મનપા પ્રાયમરી અથવા સેક્ધડરી ટ્રીટમેન્ટવાળું પાણી પૂરું પાડે, જેના તેને પૈસા મળે અને આઈઓસી એ પાણીમાંથી હરિત ઉદકજનનું નિર્માણ કરે અને જાહેર હિતો માટે વેચાણ કરે. આઈઓસી પાસે પોતાના પેટ્રોલપંપોનું વિશાળ અને વ્યવસ્થિત નેટવર્ક છે, એટલે આ ટૅક્નોલોજી સરળતાથી સુચારુ થઈ શકે. બંને સંસ્થાને આવક મળી શકે છે.
(૨.૫) ઉદકજન એક જ્વલનશીલ વાયુ છે અને તેની સુરક્ષા, સ્વાસ્થ્ય અને પર્યાવરણની કાળજીપૂર્વકની માવજત જરૂરી બને છે. મહદ્અંશે આ વાયુની સારંસભાળ અત્યારે વાહનોમાં ઈંધણ તરીકે વપરાતા સીએનજી વાયુ જેવી હોવાથી તેનું વ્યવસ્થાપન સરળ બનશે.
(૨.૬) ઉદકજનના ઉત્પાદનમાં પ્રાણવાયુ એક આડપેદાશ તરીકે ઉત્પન્ન થાય છે. સન ૨૦૨૦-૨૨ દરમિયાન થયેલા કોરોના નામક ઘાતક રોગની સારવારમાં પ્રાણવાયુનો ઉપયોગ વધ્યો છે. એ સિવાય શ્ર્વાસના અન્ય રોગોમાં પણ તેની જરૂર પડે છે. આમ, પ્રાણવાયુ મેડિકલ અને બિન-મેડિકલ ક્ષેત્રોમાં ઉપયોગી હોવાને કારણે તેનું પણ જાહેર વેચાણ શક્ય છે, જેનાથી પણ ઉત્પાદકને આવક ઊભી થઈ શકે છે.
પાયલોટ પ્રોજેક્ટ
આ નવા અભિગમને સુચારુ રીતે અમલમાં મૂકવા માટે એક પાયલોટ પ્રોજેક્ટનું આયોજન પણ કરી શકાય છે. આ ક્ષેત્રના તજ્જ્ઞનોની સલાહ અનુસાર યોગ્ય માપનો એક પ્રોજેક્ટ ઊભો કરી શકાય. અજમાયશી ધોરણે આ પ્રોજેક્ટ દ્વારા ઉદકજનના ઉત્પાદનની ચકાસણી કરી શકાય. નાનામોટા ફેરફારો આ તબક્કામાં પણ થઈ શકે. સુધારા-વધારા સાથેની અંતિમ આવૃત્તિ વ્યાવસાયિક ધોરણે અમલમાં મૂકી શકાય.
ગઠન
આ પ્રોજક્ટના શક્ય તેટલા વિભાગો ભૂમિગત હોય તેવી ડિઝાઈનનું ગઠન કરી શકાય. ઉદાહરણ તરીકે ઉદકજન અને પ્રાણવાયુને સંગ્રહવામાં ટાંકા ભૂમિગત રાખ્યા હોય તો ભૂમિ ઉપર ભવિષ્યમાં થનારી કુદરતી કે બિનકુદરતી આપદાઓ સામે તેનું રક્ષણ થઈ શકે. વળી ભૂમિ ઉપરની ફાજલ જગ્યામાં સોલર પેનલો કે પવનચક્કી ગોઠવીને પ્લાન્ટ માટે હરિત ઊર્જાનું ઉત્પાદન પણ કરી શકાય છે.
ભારતના આંગણે સ્વચ્છ ઊર્જા, સ્વાવલંબિત ઊર્જા અને સરળ ઊર્જાનું ઉત્પાદન કરવા માટેની આ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારે અમલમાં મૂકવા માટે અગ્રેસરતા દાખવવી ઘટે.
ડૉ. અશોક મો. દવે : ૨૬, સુવાસ પાર્ક, એમજીએમ સ્કૂલ પાસે, ન્યૂ સમા રોડ, વડોદરા-૩૯૦ ૦૨૪. મો.: + ૯૧ ૯૪૨૭૩૧૫૪૫૭
સાભાર – નવચેતન
-
પવન લઈ જશે આપણને : મૃત્યુ એ પવનની પાંખે બેસી અજ્ઞાત સફરે ઊડી જવાનું નામ છે
સંવાદિતા
ન સંકલ્પો, ન સંચરવું, ન એકે શબ્દ સાંભરશેસહજ સાથે સળંગાઈ, સમય ખળખળ વહ્યા કરશે– રાજેંદ્ર શુકલભગવાન થાવરાણી
ઘણી ફિલ્મો એવી છે જેના કેંદ્રમાં કોઇ યાદગાર કે લોકપ્રિય કવિતા અથવા એની થોડીક પંક્તિઓ હોય છે અને સમગ્ર ફિલ્મની કથા એ કવિતાની આસપાસ આકાર લેતી હોય છે. આવી હિંદી ફિલ્મોના ઉદાહરણો જોઈએ તો આનંદ – ૧૯૭૧ ( મૌત તુ એક કવિતા હૈ – ગુલઝાર ), કભી કભી – ૧૯૭૫ ( કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ – સાહિર ), અર્ધ સત્ય – ૧૯૮૩ ( ચક્ર વ્યુહ મેં ઘુસને સે પહલે – દિલીપ ચિત્રે ), અગ્નિપથ – ૧૯૯૦ ( વૃક્ષ હોં ભલે ખડે, હોં ઘને હોં બડે – હરિવંશરાય બચ્ચન ), ક્યા દિલ્લી ક્યા લાહૌર – ૨૦૧૪ ( લકીરેં હોં તો રહને દો – ગુલઝાર ), મસાન – ૨૦૧૫ ( તુ કિસી રેલ સી ગુઝરતી હૈ – દુષ્યંત કુમાર ) જેવી ફિલ્મોના નામ ગણાવી શકાય.વિશ્વ સિનેમામાં પણ આવી અનેક ફિલ્મો છે. અહીં જ આપણે થોડાક સમય પહેલાં ફિલ્મ ડેડ પોએટ્સ સોસાયટી – ૧૯૮૯ અને એ ફિલ્મના કેંદ્રમાં રહેલી વોલ્ટ વ્હીટમેનની કવિતા ‘ ઓ કેપ્ટન માય કેપ્ટન ‘ વિષે સવિસ્તાર વાત કરી ગયા.
આજે વાત કરીએ એક મહાન ઈરાનિયન ફિલ્મ ‘ ધ વિંડ વિલ કેરી અસ ‘ ( ૧૯૯૯ ) એટલે કે ‘ પવન લઈ જશે આપણને ‘ અને એ ફિલ્મના કેંદ્રમાં રહેલી હોનહાર ઈરાની કવયિત્રી ફરો ફરોખઝાદની એક કવિતાની.ઈરાની ફિલ્મોનું એક આગવું વિશ્વ છે. ત્યાં કડક સેંસરશીપ અને સમાજમાં રુઢિચુસ્તતા હોવા છતાં ત્યાંના મજીદ માજીદી, જાફર પનાહી, ડેરિયસ મેહરજુઈ, મસૂદ કિમીયાઈ, શિરીન નિશાત, અસગર ફરહાદી અને સૌથી વિશેષ અબ્બાસ કિયારોસ્તામી જેવા ફિલ્મ સર્જકો જે કૌશલ્ય અને સંવેદનશીલતાથી પોતાની વાત દર્શકો લગી પહોંચાડે છે અને સર્જક તરીકેની પ્રતિબદ્ધતા જાળવી રાખે છે એની નોંધ ઈરાન અને વિશ્વના પ્રબુદ્ધ દર્શકોએ હંમેશા લીધી છે.ફિલ્મકાર અબ્બાસ કિયારોસ્તામીની ‘ ધ વિંડ વિલ કેરી અસ ‘ વાત કરે છે એક એવા પત્રકારની જેને એના માલિકોએ તહેરાનથી સુદૂર કુર્દ પહાડીઓના એક દુર્ગમ ગામમાં એક વિશિષ્ટ મિશન માટે મોકલ્યો છે. એ વિસ્તારના લોકો કોઈના મૃત્યુ વખતે ચોકક્સ પ્રકારની વિધિઓ કરે છે. એક વૃદ્ધ સ્ત્રી મરવા પડી છે. આ પત્રકારે, એનું મૃત્યુ થાય કે તુરત એ વિધિઓની નોંધ લઈ એનો અહેવાલ તૈયાર કરવાનો છે.નાયક એ ગામમાં એક ખોરડું ભાડે રાખી એ વૃદ્ધાના મૃત્યુની પ્રતીક્ષા કરે છે. વૃદ્ધા તો મરતી નથી પરંતુ એ નિવાસ દરમિયાન નાયક આ ગામના ગરીબ,મહેનતકશ અને ભલા-ભોળા લોકોના જીવનને નજીકથી જૂએ છે. અહીં જે નિષ્પાપ અને નિસ્વાર્થી જીવન જીવાય છે એની સરખામણી મનોમન એ પોતાના શહેરી જીવન સાથે કરીને ચકિત થાય છે. બધા જ માટીના ઘરોમાં રહે છે અને સમજે છે કે જીવન માટી છે પણ ‘ માટી મહીં જ મબલખ મજા ‘ પામવાની છે. એ અનુભવે છે કે જેની એ રાહ જોઈ રહ્યો છે એ મૃત્યુ આ જીવાતા જીવનની જ અંતિમ પરિણતિ છે. જેણે જીવનને જોયું, સમજ્યું છે એના માટે મૃત્યુ જીવનથી અલગ નથી. છેવટે તો વિંડ વિલ કેરી અસ, પવન જ આપણા સૌની રાખ – માટીને ઉસેડી જશે !અંતે જે દિવસે એ પોતાની મુલાકાતથી સંતુષ્ટ થઈ ગામ છોડે છે એ જ દિવસે, લાંબી રાહ જોવડાવ્યા બાદ પેલી વૃદ્ધ સ્ત્રી મૃત્યુ પામે છે પણ હવે જીવનને જોઈ લીધા બાદ મૃત્યુના વિધિ-વિધાન જોવામાં એને કોઈ રસ નથી. એ નીકળી જાય છે અને ગામના પાદરે વહેતી નદીમાં એક વૃક્ષની તૂટેલી ડાળખી દૂર લગી વહેતી રહે છે !
ફરો ફરોખઝાદ ફિલ્મના મધ્ય ભાગમાં ગામના એક મકાનની ગમાણમાં નાયકને એક પર્દાનશીન યુવતીનો ભેટો થાય છે. એને આશ્ચર્ય થાય છે કે આ ગામડિયણ કવિતા સમજે છે અને એણે યુવાન વયે મૃત્યુ પામેલ ઈરાની કવયિત્રી ફરો ફરોખઝાદનુ નામ અને કવિતાઓ સાંભળી છે. ( માત્ર ૩૨ વર્ષની વયે અકસ્માતે મૃત્યુ પામનાર ફરો કવયિત્રી અને ફિલ્મ સર્જક હતા. એમનું જીવન અત્યંત વિવાદાસ્પદ અને પરંપરાઓના વિરોધ માટે ચર્ચામાં રહ્યું તો મૃત્યુ પણ એવું જ શંકાઓના દાયરામાં રહ્યું. )નાયક ફરોની જે કવિતા આ ભરવાડ સ્ત્રીને સંભળાવે છે એના ગુજરાતી ભાવાનુવાદ સાથે વિરમીએ :॥ પવન લઈ જશે આપણને ॥અફસોસ !મારી ટચુકડી રાત્રિમાંપવન – પાંદડાઓનું મિલન હવે હાથવેંતમાં છેમારી સંક્ષિપ્ત રાત્રિ છેવિનાશકારી પીડાથી તપ્તસાંભળો !સંભળાય છે તમને પડછાયાઓનો ગણગણાટ ?આ સુખ મારા માટે અજાણ્યું છેહું છું હતાશાથી ટેવાયેલીસાંભળો !સંભળાય છે તમને છાયાઓની ગુસપુસ ?પણે રાત્રિ મધ્યે કશુંક બની રહ્યું છેચંદ્ર લાલચોળ અને ચિંતાતુર છેગમે ત્યારે તૂટી પડવાની સંભાવનાઓ ધરાવતાઆ છાપરાંને વળગેલોવાદળો વિલાપ કરતી સ્ત્રીઓના ટોળાંની જેમવર્ષાના જન્મને ઝંખે છેએક ક્ષણ અને પછી પરમ મૌન !બારીની પાછળ રાત્રિ થરથરે છેઅને પૃથ્વી ધુમરાતી અટકે છેબારીની પાછળકોઈક આગંતુક તારી અને મારી ચિંતા કરે છે.તું તારી લીલપમાંપેલી સળગતી સ્મૃતિઓ જેવા તારા હાથમારા પ્રેમ – તપ્ત હાથ ઉપર મૂકે છેઅને જીવનથી ધબકતાં તારા ઉષ્ણ અધરનેમૂકે છે મારા સ્નિગ્ધ હોઠ પરપવન લઈ જશે આપણનેઆપણને પવન જ લઈ જશે ..( ફારસીમાંથી કોઈ અજ્ઞાત અનુવાદકે કરેલા અંગ્રેજી અનુવાદ ઉપરથી ભાવાનુવાદ )સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
શાહુ મહારાજ એટલે સામાજિક ન્યાયની પ્રત્યંચા
નિસબત
ચંદુ મહેરિયા
કોલ્હાપુરનરેશ છત્રપતિ શાહુ મહારાજ ( જન્મ – ૨૬ જૂન ૧૮૭૪, અવસાન ૬ મે, ૧૯૨૦)ની આવરદા તો હતી માંડ અડતાળીસ વરસની જ. પરંતુ આટલા ટૂંકા જીવનકાળમાં એમણે સમાજ સુધારણાના એવા તો બેમિસાલ કામો કર્યા હતા કે ભારતના સામાજિક આંદોલનના ઈતિહાસમાં તેઓનું માનભર્યું સ્થાન છે. ૧૮૯૦માં મહાત્મા ફુલેનું અવસાન થાય છે અને ૧૯૧૯માં ડો.આંબેડકર જાહેરજીવનમાં પ્રવેશે છે તે ગાળામાં શાહુ મહારાજે કરેલા કામો ફુલે-આંબેડકર વચ્ચે અવકાશપૂરક નહોતા. પરંતુ તેની આગવી અને અમીટ છાપ છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી છત્રપતિ શિવાજીના ત્રીજી પેઢીના વંશજ અને તેમણે સ્થાપેલ મરાઠા સામ્રાજ્યના પાંચમા છત્રપતિ શાહુ મહારાજ રાજકુળમાં જન્મ્યા નહોતા. શિવાજીની જેમ તેઓ પણ જન્મે શૂદ્ર હતા.કોલ્હાપુરના રાજવી શિવાજી ચોથાની હત્યાથી તેમના સંતાનવિહોણા વિધવા આનંદીબાઈએ જાગીરદાર જયસિંહરાવ ઘાટગેના દસ વરસના પુત્ર યશવંતરાવને ૧૮૮૪માં દત્તક લીધા હતા. આનંદીબાઈના આ દત્તક પુત્ર એ જ કોલ્હાપુરનરેશ શાહુ મહારાજ. ગુજરાત સાથે શાહુ મહારાજનો મહત્વનો નાતો રહ્યો છે. રાજકોટની રાજકુમાર કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હતો. વડોદરાનાં મરાઠા સરદારનાં પુત્રી લક્ષ્મીબાઈ સાથે તેમના લગ્ન થયાં હતાં.
વીસ વરસની વયે ૧૮૯૪માં જ્યારે શાહુ મહારાજે રાજ્યની શાસન ધુરા સંભાળી ત્યારનો સમાજ રૂઢિદાસ્ય, ભીષણ વર્ણવાદ અને આભડછેટ, મહિલાઓની બદતર હાલત, નિરક્ષરતા, ગરીબી અને ગુલામીમાં સબડતો હતો. યુવાન રાજવી શાહુ પણ તે માંહેલા જ હતા. તેમની કેફિયત પ્રમાણે તેઓ કન્જર્વેટિવ કે પુરાણપંથી હતા.જ્ઞાતિભેદ ટકવો જોઈએ અને તેનું પાલન થવું જોઈએ તેવું માનનારા હતા. આ પ્રકારના જ્ઞાતિગુમાનથી અન્યનો વિકાસ રૂંધાય છે તેનું પણ તેમને ભાન નહોતું એમ પણ તેમણે લખ્યું છે. કોલ્હાપુર રાજ્યની પ્રજાની વચ્ચે રહેતા-ફરતાં અને પુરોહિત વર્ગના પોતાના પ્રત્યેના વર્તનના જાત અનુભવથી તેમને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો અને વિચારો બદલાયા. તેમના સામાજિક સુધારણાના કામોનો રાજ્યના કથિત ઉચ્ચ વર્ણના લોકોએ ભારે વિરોધ કર્યો ત્યારે એમણે કહ્યું કે રાજગાદી છોડીશ પરંતુ સામાજિક પ્રતિબધ્ધતાના કાર્યોમાં પીછેહઠ નહીં જ કરું. ડો.આંબેડકર સાથેનો તેમનો સંબંધ તો અઢીએક વરસનો (૧૯૧૯ થી ૧૯૨૨) રહ્યો. પરંતુ બાબાસાહેબે તેમને સામાજિક લોકતંત્રના આધારસ્તંભ કહી બિરદાવ્યા એ કક્ષાના તેમના કામો હતા.
કોલ્હાપુરના રાજવહીવટમાં એક જ્ઞાતિવિશેષનું કે બ્રાહ્મણોનું પ્રભુત્વ છે અને વહીવટ સર્વસમાવેશી નથી તેવું શાહુ મહારાજના ધ્યાનમાં આવ્યું.સ્વતંત્ર ભારતમાં આજે પણ શક્ય નથી તે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તેમણે ૧૯૦૧માં કરાવી હતી. રાજ્યવહીવટના મહત્વના ૭૧ અધિકારીઓમાં ૬૦ અને ૫૦૦ કારકુનોમાં ૪૯૦ બ્રાહ્મણો હતા.એટલે ૨૬મી જુલાઈ ૧૯૦૨ના રોજ તેમણે અભિનવ પહેલ કરીને કથિત અસ્પૃશ્યો અને પછાતો માટે ૫૦ ટકા અનામત દાખલ કરી હતી. તેથી આજે પણ તેઓનું અનામતના જનક તરીકે સ્મરણ કરવામાં આવે છે. તેઓ રાજ્યના વહીવટમાં તમામ જ્ઞાતિઓની સમાન ભાગીદારી અને પ્રતિનિધિત્વ ઈચ્છતા હતા. અનામત દ્વારા સામાજિક ન્યાયનું તેમનુ કદમ સફળ થયું હતું. અમલના દસ જ વરસમાં, ૧૯૧૨માં, કોલ્હાપુર રાજ્યમાં ૯૫માંથી ૬૦ અધિકારીઓ બિનબ્રાહ્મણો હતા. શાહુ મહારાજ તેથી અટક્યા નહીં.તેમણે કોલ્હાપુર નગરપાલિકામાં પણ કથિત અછૂતો માટે અનામત બેઠકો મુકરર કરી..તેના લીધે જ તેમની રાજવટ દરમિયાન એક દલિત કોલ્હાપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
સમાજ સુધારણાના કોઈ કામો શાહુ મહારાજે બાકી રાખ્યા નહોતા. મહાત્મા ફૂલેના કાર્યોનો તેમના પર જબ્બર પ્રભાવ હતો. તેમની સંસ્થા સત્ય શોધક સમાજની તેમણે પોતાના રાજ્યમાં રચના કરી અને ફુલેના કાર્યો આગળ ધપાવ્યા. ફુલે-આંબેડકરની જેમ શાહુ પણ વંચિતોના વિકાસમાં શિક્ષણને પ્રાથમિકતા આપતા હતા.૧૯૧૨માં તેમણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યુ અને પાંચ વરસ પછી ૧૯૧૭માં નિ:શુલ્ક કર્યું હતુ. ૫૦૦ થી ૧૦૦૦ની વસ્તીના ગામોમાં પ્રાથમિક શાળા ખોલી. શાળાઓમાં દલિતો-પછાતો પ્રત્યે કોઈ ભેદભાવ આચરવામાં ના આવે તે માટેનું ફરમાન જારી કર્યું. તેમના ઉચ્ચ શિક્ષણ માટે રાજ્યે આર્થિક મદદ કરી. જ્ઞાતિના વિરોધી હોવા છતાં તત્કાલીન સમયની સ્થિતિ પારખીને બ્રાહ્મણ, મરાઠા, મહાર, ક્ષત્રિય, વૈશ્ય માટે જ નહીં ખ્રિસ્તી, મુસલમાન અને જૈનો માટે પણ અલગ હોસ્ટેલ્સ શરૂ કરી હતી. હાયર એજ્યુકેશન માટે કોલ્હાપુર શહેરમાં જ ૨૨ હોસ્ટેલ નું નિર્માણ કર્યું હતું.
રાજર્ષિ શાહુ ડો.આંબેડકરના સાથી, સમર્થક અને સહાયક હતા. ૧૯૧૯માં તેઓ સામે ચાલીને નવ યુવાન આંબેડકરને મળવા મુંબઈ ગયા હતા.૧૯૧૯માં માણગાંવ પરિષદના અધ્યક્ષ તરીકે તેમણે આંબેડકરની પ્રતિભા અને પ્રતિબધ્ધતા પારખીને દલિતોને તેનો સાચો નેતા મળી ગયો છે અને તે તેમનો ઉધ્ધારક બની રહેશે તેવી ભવિષ્યવાણી કરી હતી. બાબાસાહેબને એમના અધૂરા વિદેશ અભ્યાસ માટે તો એમણે આર્થિક સહાય કરી તેમના વિદેશવાસ દરમિયાન પત્ની અને બાળકોને સાચવ્યા. જે જમાનામાં સોનુ તેર રૂપિયે તોલો હતું ત્યારે તેમણે આંબેડકરના પ્રથમ સામયિક ‘મૂકનાયક’ ને રૂ. ૨૫૦૦ની માતબર સહાય કરી હતી. રાજ્યના વહીવટ, શિક્ષણ અને દવાખાનાઓમાં આભડછેટનું આચરણ ના થાય તે માટે તેમણે નિયમો ઘડ્યા હતા. જ્ઞાતિને તેઓ સમાજના સર્વાંગીણ વિકાસના માર્ગનું રોડું માનતા હતા. એટલે તેનું સંપૂર્ણ નિર્મૂલન થાય તે માટેના તેમનાપ્રયાસો હતા.જ્ઞાતિભેદનો વિરોધ કરનારા પણ જ્યારે જ્ઞાતિદ્વેષ ના રખાવો જોઈએ એમ કહેતા ત્યારે શાહુ મહારાજનો જવાબ રહેતો કે જ્ઞાતિને કારણે જ બેઉ છે એટલે એક સારું ને બીજું નહીં સારું એવું ન ચાલે.
મહિલાઓની સ્થિતિ સુધારવા તેમણે રાજ્યમાં મહિલાઓ પરના પ્રતિબંધો ઉઠાવી લીધા. દીકરીઓને પિતાની સંપત્તિની વારસ ઠેરવતા કાયદા ઘડ્યા. બાળલગ્નને પ્રતિબંધિત કર્યા તો વિધવા વિવાહનું સમર્થન કર્યું હતું. દલિત મહિલાઓના જાતીય શોષણની ધાર્મિક પ્રથા દેવદાસી પર પ્રતિબંધ લાદ્યો. આંતરજ્ઞાતિય લગ્નોને પણ મંજૂરી અને પ્રોત્સાહન આપ્યા હતા. બાળમજૂરી જ નહીં વેઠપ્રથા પણ બંધ કરાવી હતી.થોડી જમીનના ટુકડા માટે આખા કુટુંબે ગામની મફત સેવા કરવાની બલુંતદારી પ્રથામાંથી અછૂતોની મુક્ત કરાવી આર્થિક પરાધિનતામાંથી છોડાવ્યા હતા. ખેડૂતો માટે સહકારી ધોરણે મંડળીઓ બનાવી બજાર પૂરું પાડ્યું. તેમને ખેતીમાં પ્રયોગો કરવા કે ખેતી સુધારવા વિદેશથી નિષ્ણાતો બોલાવી માર્ગદર્શન અપાવ્યું. આધુનિક કૃષિના સાધનો ખરીદવા નાણાંકીય મદદ કરી.
બ્રિટિશકાલિન ભારતના દસ પ્રભાવશાળી રાજ્યો પૈકીના એક કોલ્હાપુરમાં શાહુજીએ ધર્મસ્થળોની સંપત્તિ અને દાનને લોકહિતના કાર્યોમાં વાપરવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો હતો. સદી પૂર્વે મંદિરોના પૂજારી તરીકે મરાઠાઓની નિમણૂક કરવાનો નિર્ણય ભારે વિરોધ છતાં અમલી બનાવ્યો.. બિનબ્રાહ્મણ પૂજારીઓની સમયબધ્ધ તાલીમ માટે વ્યવસ્થા કરી. તમામ વિધ્યાર્થીઓને સમાન ધોરણે શાસ્ત્રોનું જ્ઞાન મળે તે માટે વૈદિક શાળાઓ સ્થાપી હતી.
સમાજ સુધારક શાહુએ આધુનિક ભારતના નિર્માણનો પાયો નાંખ્યો હતો. ૧૯૦૬માં એમણે સ્પિનિંગ અને વિવિંગ મિલ સ્થાપી ઉધ્યોગો તરફ પ્રજાને વાળી. ૧૯૦૭માં ભોગાવતી નદી પર વિખ્યાત ઈજનેર વિશ્વેશ્વસરૈયાના માર્ગદર્શનમાં રાધાનગરી બંધ બંધાવવો શરૂ કર્યો હતો. બંધને કારણે નદીનું પાણી રોકી પુર અને દુકાળથી લોકોને બચાવ્યા તો પીવાના અને સિંચાઈના પાણી ઉપરાંત બંધને લીધે જળવિધ્યુત ઉત્પન્ન કરવાનું ગોઠવ્યું.કરી. આજે પણ રાધાનગરી બંધ શાહુ મહારાજના સ્મૃતિ થાનક તરીકે હયાત છે.
ચૂંટણી ટાણે ગરીબો કે દલિતોના વોટ મેળવવા કે તેમની વોટબેન્ક્નું સમર્થન હાંસલ કરવા આજના રાજનેતાઓ તેમના ઘરે વાળુપાણી કરવા પહોંચી જાય છે. પરંતુ શાહુ મહારાજનો આભડછેટ નાબૂદી અને દીનદુખિયા પ્રત્યેની સંવેદનાનો અભિગમ સાચા દિલનો અને નોખો હતો. અસ્પ્રુશ્યતાનો ભોગ બનેલા રાજમહેલના દલિત કર્મચારી ગંગારામ કાંબળેને નોકરી છોડાવી મહારાજે મદદ કરી ચાની લારી ચાલુ કરાવી. અછૂત ગંગારામની ચા કોઈ પીવે નહીં એટલે લોકસંપર્ક કે શિકારે જતા શાહુ મહારાજ રોજ અચૂક ગંગારામની લારીએ જતા અને તેની ચા પીતા. સાથે આવેલા સૌને પીવડાવતા. આ રીતે મહારાજે કોઈ દબાણ કે ધાકધમકી સિવાય ખુદના આચરણથી દલિતની ચા સૌને પીતા કર્યા. અને આભડછેટ અંશત દૂર કરી.
મહારાષ્ટ્ર અને ભારતના આવા અનન્ય સમાજ સુધારક શાહુ મહારાજને આજના દોઢસોમા જન્મ પર્વે આદરભેર સલામ.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ફાકી કરી છે
દેવિકા રાહુલ ધ્રુવ
કિનારે ઠરેલી જુદી છે આ નૈયા.
નવાં કો’ મુકામે જવાની છે સૈયા.ખલાસી, પ્રવાસી કશી ના ખબર છે,
ને તોયે છે હૈયે તો તાતા તથૈયા.હશે શું ને કેવું, નથી જાણ કંઈ પણ,
છે ખાત્રી સદાની હશે પાસ મૈયા.ફિકરની તો હમણાં મેં ફાકી કરી છે,
સ્મરણ ઘાસ જાણે કે ચગળે છે ગૈયા.હજી વ્યોમ ભોમે છે ગીતો મધુરાં,
મળી જાય કોઈ સુરીલો ગવૈયા.આસ્વાદ
સતીન દેસાઈ પરવેઝ દીપ્તિ”ગુરૂ”
રદીફના સંવાહક વિના નિષ્ફિકર અલક્ષિત સફર કરતી આ ગઝલની નાયિકા નૈયા,સૈયા,
તથૈયા, મૈયા, ગૈયા અને ગવૈયા જેવાં હિન્દી ભાષી બે માત્રાના પ્રતીકોથી જે વ્રજ સમી
ભક્તિની ઝાંય ઝળકાવે છે. એ કવયિત્રીની ભીતર રમંતી અસ્તિત્વ વિષયક અપ્રતિમ શ્રદ્ધાલીલાનો જ લયબદ્ધ સુરીલો રણકાર છે. પ્રથમ નાંગરેલી અદ્વિતીય નૈયા વિશેના રહસ્ય સંવાદને માણીએ.
‘કિનારે ઠરેલી જુદી છે આ નૈયા.
નવાં કો’ મુકામે જવાની છે સૈયા.’આમ તો સ્વાભાવિક રીતે એક જ જળકિનારે નાંગરતી નૈયા, એકની એક જ હોય. જેનાં લંગર છૂટતા એ નિશ્ચિત સામા કિનારે પ્રવાસીને પહોંચાડતી હોય છે. પરંતું અહીં અભિપ્રેત નૈયા, આગવી હોઈ વણખેડેલ શ્રદ્ધા કવયિત્રી કોળે છે. જે વિશે એ ‘સૈયા’ અર્થાત પ્રિય પાત્રને સૂચવતા આનંદની મોજ હિલ્લોળે ઝૂલે છે..નૈયાના પ્રતીકમાં એ ભક્તિ સંવહનનો અનેરો પંથ ખેડે છે. બીજો શેર અજ્ઞાત ચિત્તચૈતન્યનો ચરમ તાલબદ્ધ ઉલ્લાસનું જ નર્તન કરે છે. આમે આપણું સકળ અસ્તિત્વ પણ “માલૂમ સે નામાલૂમ કા સફર”ને જ વરેલ હોઈ, આપણને અસલ પ્રવાસી કે ખલાસીની ઓળખ વિના જ આગે દોરી જતું હોય છે. એ વિશેની પૂર્ણજ્ઞાતા દેવિકાજી ખરે જ હરઘડી ‘તાતા તથૈયા” નાં નર્તન રમણમાં આનંદ વિભોર જણાય છે.
‘ખલાસી, પ્રવાસી કશી ના ખબર છે,
ને તોયે છે હૈયે તો તાતા તથૈયા.’આ શેરનો સાની મિસરો પાંચ “ત” વરણને સાંકળતો હોઈ તની તદ્રુપતામાં જ સ્વજાતને તારણ વિના તારી કમાલ કરે છે. કવયિત્રી સમગ્ર ગઝલમાં અજાણતાનો જ અભિષેક કરવા છતાં, એમની અવિભાજ્ય શ્રદ્ધાના મૂળમાં પ્રગટતી માતા વિશે તો અતૂટ કડીઓ સાધે છે. જેમાં કશુંયે મૂળ રૂપે પરિચિત અવસ્થામાં ન જડતું હોવા છતાં, માનો નાભિગર્ભ તો સદાકાળ ઉપલબ્ધ જ રહેવાનો, એવી ખાતરી દેવિકાજી છાતી ઠોકીને આ જગતને આપે છે.
‘હશે શું ને કેવું, નથી જાણ કંઈ પણ,
છે ખાત્રી સદાની હશે પાસ મૈયા.’સદાકાળ એક મા જ એનાં પાર્થિવ કે અપાર્થિવ સ્વરૂપે આપણી ભીતર એવમ આસપાસ પરિક્રમા કરતી જ હોય છે. એ જ તૉ ચૈતન્યનો અનંત અવકાશ રચે છે. જેમ રાજેન્દ્ર શુક્લ એક પંક્તિમાં આવા જ સનાતન તત્વને આમ પડઘાવે છે.
“નથી તો ક્યાંય પણ નથી, જુઓ તો આસપાસ છે.”
મૈયા કાફિયો આપણને વ્રજની પેલી મૈયા દેવકી અને જશોદાનું સ્મરણ કરાવી જાય છે. એ જ અનુભૂતિની અવસ્થામાં દેવિકાબહેન વ્રજભૂમિની નિષ્ફિકર ગૌ લીલામાં મનને પરોવી આવો શેર રચે છે.
‘ફિકરની તો હમણા મેં ફાકી કરી છે,
સ્મરણ ઘાસ જાણે કે ચગળે છે ગૈયા.’ફિકરની ફાકી કરવાનો નવા પ્રયોગ એ જ સાધી શકે કે જે મનમેદાનમાં ઊગી નીકળતા સ્મરણ રૂપી ઘાસને ચગળીને નિઃશેષ કરી શકે..આવું મન વિષયક જટિલ જ નહીં પરંતું અસંભવિત કર્મ કવયિત્રી કરતાં લેશમાત્ર ક્યાં ખચકાય છે ? એ જાણે કે મનનાં જ ઘાસને નહીં સ્વયં શ્રીકૃષ્ણ સમાન નિજ જાતને જ ચરી જવાની ત્રેવડ આ મારા શેર જેમ દાખવતા હોય, એમ લાગે છે.
‘નથી હું જાદવો પણ, જાત ચારનારો છું,
ચરાવી શ્વાસનું ધણ, વ્રજ ચરીને આવ્યો છું.’ -
‘વનિતાવિશેષ’ના પ્રારંભે પ્રાસંગિક પૂર્વકથન
વેબ ગુર્જરીના મંચ પર આપણે નારી રચિત સાહિત્ય બહુ વિપુલ પ્રમાણમાં માણી રહ્યં છીએ. થોડાં વર્ષો પહેલાં આપણે સ્ત્રીઓ દ્વારા જ સ્ત્રીઓને અલગ અલગ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરતી સાહિત્યેર રચનાઓનો આસ્વાદ પણ કરતાં હતાં.
હવે ફરી એક વાર કોઈ પણ નારી દ્વારા જ સર્જાયેલ, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, વ્યવસાયિક, કળાઓ કે ગૃહઉપયોગી ક્ષેત્રોના નારીઓને લગતા દૃષ્ટિકોણને રજૂ કરતા સાહિત્યેતર વિષયોને આવરી લેતી રચનાઓને વેબ ગુર્જરી પર રજુ કરવાનું આયોજન કરીએ છીએ.
આ પહેલને વેગ આપવા સુશ્રી રક્ષાબેન શુક્લએ તાત્કાલિક જ તેમની લેખમાળા ‘વનિતાવિશેષ’ પ્રકાશિત કરવાનો પ્રસ્તાવ મુકી દીધો. આમ, ઉપક્રમ પેટે, આ મહિનાથી દરેક બીજા અને ચોથા મંગળવારે સુશ્રી રક્ષાબેન શુક્લની લેખમાળા ‘વનિતાવિશેષ’ પ્રકાશિત કરીશું.
‘વનિતાવિશેષ’ના પ્રારંભે આજે આ લેખમાળાના વિષયવસ્તુના પરિચય અર્થે સુશ્રી રક્ષાબેન શુક્લના જ શબ્દોમાં તેમની કેફિયત અને સુશ્રી ડૉ. રંજના હરીશની પ્રસ્તાવના સાદર પ્રસ્તુત છે.
વેબ ગુર્જરી પર લેખમાળા ‘વનિતાવિશેષ’ પ્રકાશિત કરવાની સંમતિ આપવા બદલ આપણે સૌ સુશ્રી રક્ષાબેન શુક્લનાં આભારી છીએ.
સંપાદક મંડળ – વેબ ગુર્જરી
ઓરડાની ભીંતે પાંગરેલો પીપળો
રક્ષા શુક્લ
‘ગુજરાત સમાચાર’ની ‘સહિયર’ પૂર્તિમાં ‘અંતર’ કૉલમ નિમિત્તે કેટલાક નારીચરિત્રો લખાયા. ‘તોફાની તાંડવ’ ચેનલમાં પણ ‘વનિતાવિશ્વ’ કાર્યક્રમ નિમિત્તે અનેક પ્રતિભાસંપન્ન નારીઓની મુલાકાત લેવાનું થયું. વિવિધ સંસ્થાઓ દ્વારા વક્તવ્ય નિમિત્તે નારીશક્તિના નામનો ‘ન’ ઘૂંટાતો રહ્યો. એ ‘ન’માંથી હજારો હકારાત્મક ‘હ’ મળતા રહ્યા. આમ ગદ્ય સાથે ગોઠવણ અને ગોઠડી થતી રહી. સ્ત્રીસંવેદનાનો મારો પ્રથમ લેખ પ્રગટ થયો ત્યારે જાણીતા પત્રકાર, લેખક લલિત ખંભાયતા દ્વારા પ્રેમાળ પોંખણાથી મારી ભીતરની ગદ્યયાત્રાને ગમતીલી ગતિ મળી. મિત્રો અને ભાવકોનાં સ્વીકારની હૂંફાળી હથેળી માટે કૃતજ્ઞતાનો કળશ લઈ નતમસ્તક ઊભી છું.
આ પુસ્તકમાં જે નારીચેતનાનો સમાવેશ થયો છે એણે મારા સંવેદનવિશ્વને હલબલાવ્યું છે અને મુશ્કેલીમાં માર્ગ ચીંધ્યો છે. એ વામાવિભૂતિઓએ ચાર દીવાલથી ચાર દિશા સુધીનો વિસ્તાર આંખમાં આંજ્યો છે. આ લેખ માત્ર લેખ ન રહેતા અનેકના જીવાયેલા કે જીવાતા જીવનનો દસ્તાવેજ છે. દરેક નારીરત્નો પાસેથી જિંદગીની કોઈ અદ્ભુત વાત અને પ્રેરણાનું પારિજાત લાધે છે, જે આપણા ભીતરને મઘમઘાવ્યા કરે છે.
બંધ ઓરડાની ભીંતે પાંગરેલો પીપળો છત તોડીને આકાશને આંબવા મથી રહ્યો છે ત્યારે હું ઉંબરે ઊભી તૃણવત્ આ સઘળી લીલયા લીલાને વિસ્મયપૂર્વક નીરખી રહી છું. લ્યો, હવે આ સંવેદનાનો સાગર આપના ખોબે…
રક્ષાવિશેષ એટલે વનિતાવિશેષ
ડૉ. રંજના હરીશ
રક્ષા શુક્લનાં આ લેખો – નારીસંવેદનાના ‘નર્યાનીતર્યા નીર’ જેવી એકવીસ વિરલ પ્રતિભાઓને પોંખે છે. ભૌગોલિક કે સામયિક સીમાડાના કોઈ બંધન વગર આ સંગ્રહ નારીસંવેદનાને પોતાનું કેન્દ્ર બનાવીને આગળ વધે છે. ભારત, ઈજિપ્ત, સ્વાતવેલી, પાકિસ્તાન, રશિયા, ઇંગ્લેન્ડ, અમેરિકા જેવા દેશોમાં સમયના પહોળા પટ પર પોતાના પદચિન્હોની છાપ મૂકી જનાર એકવીસ વિશેષ વનિતાઓની વાત અહીં આપના મર્મને સ્પર્શે છે. સારા શગુફ્તા, દીપા મલિક, અમૃતા પ્રીતમ, સુધા મૂર્તિ, કૃષ્ણા સોબતી, કલ્પના ચાવલા, મલાલા, કમલા હેરિસ જેવી અનેક પ્રતિભાશાળી તથા સફળ મહિલાઓ અહીં અડીખમ અજવાળા આપ્યાની સાહેદી પૂરે છે. અહીં પ્રત્યેક સ્ત્રીનું જીવન અને કવન પ્રેરણાદાયી છે. આ સ્ત્રીઓની સફળતા અને પ્રસિદ્ધિ તેમના અથાગ પરિશ્રમનો પરિપાક છે. પ્રત્યેકનો સંઘર્ષ બિરદાવવા લાયક છે. પ્રસ્તાવનામાં રક્ષા શુક્લ લખે છે કે ‘આ પુસ્તકમાં જે નારીચેતનાનો સમાવેશ થયો છે એણે મારા સંવેદનવિશ્વને હલબલાવ્યું છે અને મુશ્કેલીમાં માર્ગ ચીંધ્યો છે. એ વામાવિભૂતિઓએ ચાર દીવાલથી ચાર દિશા સુધીનો વિસ્તાર મારી આંખમાં આંજ્યો છે. આ લેખો માત્ર લેખ ન રહેતા જીવાયેલા અને જીવાતા જીવનનો દસ્તાવેજ છે. દરેક નારીરત્નો પાસેથી જિંદગીની કોઈ અદભુત વાત અને પ્રેરણાનું પારિજાત મળે છે, જે આપણા ભીતર મઘમઘાવ્યા કરે છે.’
રક્ષાબહેન ‘તોફાની તાંડવ’ ચેનલમાં ‘વનિતાવિશ્વ’ કાર્યક્રમનું એન્કરિંગ સુપેરે સંભાળી રહ્યા છે. ‘ગુજરાત સમાચાર’માં પ્રગટ થતી એમની ‘અંતર’ કૉલમનો મોટો વાચક-ચાહક વર્ગ છે. એ નિમિત્તે તેમની નારીચેતનાને ઠેસ વાગી અને લેખોનો આ ગુચ્છ ભાવકો સુધી પહોંચ્યો. આવા સંઘર્ષને તાદૃશરૂપે પ્રસ્તુત કરવા રક્ષા શુક્લ તેમને સ્ત્રીસહજ સંવેદનાની એરણ પર કસે છે. મહત્વાકાંક્ષા અને સંવેદના લગભગ વિરોધી ભાવો છે. મહત્વકાંક્ષા બરછટ બનાવે. સંવેદના મહત્વકાંક્ષાને હરે. અહીં પ્રસ્તુત મહાત્વાકાંક્ષી સ્ત્રીઓને સફળતાના માપદંડથી તપાસવી કદાચ સરળ હોત પણ રક્ષા શુક્લની નજર જીવનસંગ્રામની કઠીન પરીક્ષામાંથી સફળતાપૂર્વક પાર ઊતરનાર આ સ્ત્રીઓ પોતાની સંવેદનાને કેવી અકબંધ રાખે છે તેના પર કેન્દ્રિત છે અને તે જ આ સંગ્રહની નોંધપાત્ર બાબત બની રહે છે. તેમાં જ આ પુસ્તકના શીર્ષકની સાર્થકતા છે. તો વળી પ્રત્યેક લેખ પાછળ રક્ષા શુક્લની જહેમત દેખાય છે. લેખિકાનો આવો નારી-સંવેદના-કેન્દ્રી અભિગમ સમકાલીન નારીકેન્દ્રી-ગાયનોસેન્ટ્રીક નારીવાદ સાથે કદમ મિલાવતો જણાય છે.
નારીસંવેદનાના સ્વરોનું દસ્તાવેજીકરણ એટલે રક્ષા શુક્લનો આ લેખસંગ્રહ બળુકું ભાષાકર્મ પુસ્તકમાં અનેક જગ્યાએ માણવા મળે છે. લેખિકાનો આ અભિગમ પ્રસ્તુત સંગ્રહનું જમા પાસું છે. તેમની સરળ શૈલી તથા કાવ્યસભર ભાષાકર્મ આ લેખોને યાદગાર બનાવે છે. જેમ કે લેખિકાને મન સારા શગુફ્તાની કાવ્યસૃષ્ટિ ‘એક એવા મરશિયા છે જ્યાં લોકોનો વિવેક ઊંડાં, અંધ કૂવાના તળિયે સંતાઈને બેઠો હતો. એવી રૂદાલી કે જે મૃત્યુ પર નહીં પણ સંવેદનના મૃત્યુનો શોક મનાવે છે. સારાની કવિતા મૌન પડેલા ઇતિહાસની દિવાલો પર ટકોરા માર્યા કરશે અને સ્ત્રીનો શાશ્વત સવાલ પૂછ્યા કરશે, “બોલો, મેરા ઘર કહાં હૈ ?” વાહ, રક્ષા શુક્લ, તમારી આવી શૈલી દાદને હક્કદાર છે. એક બીજું ઉદાહરણ ‘કલ્પનાની કલ્પના..ફ્રોમ કરનાલ ટુ કોલમ્બિયા’ લેખનું જોઈએ… ‘માતાએ એને આગગાડીનો ‘અ’ નહીં પણ આકાશનો ‘અ’ શીખવ્યો હશે. સસલાનો ‘સ’ નહીં પણ જેને સાચા પડવાની ટેવ હોય એવા સપનાંનો ‘સ’ શીખવ્યો હશે. એક વધુ ઉદાહરણ લેખ ‘સાત પગલાં સર્જનનાં આકાશમાં’ માંથી…’ઈશાજી જિંદગીભર વૃક્ષની જેમ ટટ્ટાર ઊભા રહ્યાં અને મૃત્યુ પામ્યા. કોઈ ઉત્તમ સર્જક કે કલાકારની વિદાયથી જ્યારે આપણે ખળભળી ઉઠીએ, મૃત્યુ સામે ‘Why ?’નો વંટોળ લઈ મન ચકરાવે ચડે ત્યારે સમજાય કે એમના સર્જનથી તેઓ આપણા અસ્તિત્વમાં સાવ ઓગળી ગયા હોય છે. આપણો અંતરંગ હિસ્સો બની ગયા હોય છે.’મહાત્મા ગાંધી કહે છે કે ‘પોતાની જાતને ઘસી નાખીને સેવા કરવાની બાબતમાં પુરુષ કદી પણ સ્ત્રીની કક્ષાએ પહોંચી નહીં શકે’ કવયિત્રીનો સંસ્પર્શ દરેક લેખને રળિયામણો બનાવી દે છે. કાવ્યપંક્તિઓ લેખમાં ઉપકારક બને છે. એક વાક્યમાં કહેવું હોય તો ‘રક્ષાવિશેષ એટલે વનિતાવિશેષ’ એમ કહી શકાય. નારીસંવેદનાના આ અનોખા દસ્તાવેજ માટે રક્ષા શુક્લને ખૂબ ખૂબ અભિનંદન. શ્રદ્ધા છે કે આ લેખોને વાચકો ઉમળકાથી વધાવશે.
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈનો લાડકવાયો – ( ૫૧) ઍસેમ્બ્લીમાં બોંબ કાંડ
દીપક ધોળકિયા
સૉંડર્સની હત્યા પછી લોકો હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન (HSRA)નું નામ બહુ માનભેર લેતા થઈ ગયા હતા. એના સભ્યોમાં પણ ઉત્સાહ વધ્યો હતો. એમણે સાઇમન કમિશનના સભ્યો પર જ હુમલો કરવાનો વિચાર કર્યો પણ કમિશન જલદી કામ આટોપીને પાછું ચાલ્યું ગયું હતું. આમ પણ એને ઠેર ઠેર વિરોધનો જ સામનો કરવો પડ્યો હતો. આથી HSRAના સભ્યો કંઈક એવું કરવા માગતા હતા કે લોકોમાં સનસનાટી ફેલાય, બ્રિટિશ સત્તાની નામોશી થાય અને લોકોમાં જોશ વધે.
એ અરસામાં અંગ્રેજ હકુમત બે કાયદા બનાવવા માગતી હતી. આનાં બે વિધેયક સેંટ્રલ ઍસેમ્બ્લીમાં આવવાનાં હતાં – એક તો પબ્લિક સેફ્ટી બિલ અને બીજું, ટ્રેડ ડિસ્પ્યૂટ બિલ. હાઉસમાં કોંગ્રેસના સભ્યો તો એનો વિરોધ કરવાના જ હતા. કોંગ્રેસની બહુમતી હોવાથી બિલો મંજૂર રહે તેમ તો હતું જ નહીં. છેવટે સરકાર વાઇસરૉયની સહીથી એના કાયદા જાહેર કરવાની જ હતી. આ બિલો સામે લોકોમાં ઊગ્ર વિરોધ હતો.
ક્રાન્તિકારીઓએ નક્કી કર્યું કે ગૃહમાં બન્ને બિલો ઊડી જાય તે પછી સરકાર વાઇસરૉયની સત્તા વાપરીને કાયદા બનાવવાની જાહેરાત કરે ત્યારે બોંબ ફેંકીને વિરોધ જાહેર કરવો. એમણે બોંબ ફેંકવાના બે ઉદ્દેશો નક્કી કર્યા – એક તો, સરકારને દેખાડવું કે લોકો આ બિલોનો સખત વિરોધ કરશે; બીજું કોંગ્રેસને પણ દેખાડવું કે ધારાસભા દ્વારા કંઈ મેળવવાની તમારી આશા ખોટી છે.
એમણે એમના એક ક્રાન્તિકારી સાથી જયદેવને ઍસેમ્બ્લીમાં જવાના પાસ મેળવી આપવાની જવાબદારી સોંપી. એણે ત્યાંના ઑફિસર સાથે દોસ્તી કરી લીધી અને ઘટનાના દિવસથી પહેલાં પણ બે-ત્રણ સાથીઓને જગ્યા જોવા લઈ ગયો. એક વાર ભગત સિંઘ પણ જઈ આવ્યા. પાછા ભાગવા માટે કારની વ્યવસ્થા પણ થઈ ગઈ. પરંતુ ભગતસિંઘ અને વિજય કુમાર સિન્હાએ કહ્યું કે ભાગી જવાથી એ માત્ર અડપલું ગણાશે, લોકો સુધી ક્રાન્તિનો સંદેશ નહીં પહોંચે. એટલે એમ નક્કી થયું કે પકડાઈ જવું અને કેસ ચાલે ત્યારે કોર્ટમાં HSRAનો ક્રાન્તિકારી કાર્યક્રમ જાહેર કરવો કે જેથી લોકો સુધી વાત પહોંચે. પછી એમણે નક્કી કર્યું કે ભગત સિંઘ જાય અને એની સાથે કોઈ પણ હોય. એમાં ક્યારેક વિજય કુમાર સિન્હાનું નામ આવતું તો ક્યારેક સુખદેવ કે રાજગુરુનું. પરંતુ શિવ વર્મા વગેરે સાથીઓ આઝાદ કે ભગત સિંઘને મોકલવાની વિરુદ્ધ હતા. અંતે નક્કી થયું કે બટુકેશ્વર દત્ત અને વિજય કુમારને મોકલવા. દત્ત મૂળ તો યુક્ત પ્રાંતના જ પણ કંઈ થતું ન હોવાથી બિહાર ચાલ્યા ગયા હતા. એમની ફરિયાદ હતી કે આટલો લાંબો સમય એ ગ્રુપમાં રહ્યા તો પણ એમને કશામાં કેમ સામેલ નથી કરતા?
ભગત સિંઘે હવે જવાનું નહોતું પણ સુખદેવે ભગત સિંઘને કહ્યું કે તું કેમ નથી જતો? ભગત સિંઘે જવાબ આપ્યો કે સેંટ્રલ કમિટીએ એવો નિર્ણય કર્યો છે. સુખદેવે એને ટોણો માર્યો કે તું એવું દેખાડવા માગે છે કે તું બલિદાન આપવાનું ગૌરવ છોડે છે! એણે કોઈ છોકરીનું નામ પણ આપ્યું. પંજાબના એક નેતાને સજા કરતી વખતે જજે ટકોર કરી હતી કે એ આખા કાવતરાના સૂત્રધાર છે, પણ પોતે કાયર છે અને બીજાને હોમે છે. સુખદેવે આનો ઉલ્લેખ કરીને કહ્યું કે તારા માટે પણ કોર્ટ આવું જ કહેશે. તે પછી ભગત સિંઘે સેંટ્રલ કમિટીમાં કહી દીધું કે એ પોતે જ જશે.
એ જ દિવસે સુખદેવે લાહોર જઈને બાબુજી (ભગવતી ચરણ વોહરા) અને દુર્ગાભાભીને સમાચાર આપ્યા કે ભગત સિંઘને છેલ્લી વાર મળવું હોય તો સાંજે જ દિલ્હી પહોંચો. ૧૯૨૯ની સાતમી ઍપ્રિલે એ બન્ને દીકરા સચીન સાથે દિલ્હી આવ્યાં. કુદ્સિયા બાગમાં ભગત સિંઘને મળ્યાં. દુર્ગાભાભી ભગત સિંઘને ભાવતાં રસગુલ્લાં લઈ આવ્યાં હતાં. બીજા દિવસે કદાચ ભગત સિંઘની લાશ જ જોવા મળે!
બીજા દિવસે આઠમી તારીખે ભગત સિંઘ અને બટુકેશ્વર દત્ત ઍસેમ્બ્લીમાં દર્શકોની ગેલેરીમાં બેઠા. ત્રીજો સાથી જયદેવ દૂર બેઠો અને કંઈ થાય તે પહેલાં બહાર નીકળી ગયો. ભગતસિંઘ અને બટુકેશ્વર દત્ત ક્યાં બોંબ ફેંકવો તે જોતા રહ્યા. સરકારી પક્ષનો નેતા સર જ્હોન શુસ્ટર જ્યાં બેઠો હતો એમની નજીક જ મોતીલાલ નહેરુ બેઠા હતા. જો શુસ્ટર પર બોંબ ફેંકે તો મોતીલાલ નહેરુને પણ ઈજા થાય તેમ હતું.
બન્ને બિલો નામંજૂર થવાનાં હતાં અને શુસ્ટરે ઊભા થઈને જાહેર કર્યું કે આ બિલોને વાઇસરૉયે કાયદા તરીકે મંજૂરી આપી દીધી છે; બરાબર તે જ વખતે ભગત સિંઘે એની પાછળ બોંબ ફેંક્યો. તરત બીજો બોંબ દત્તે ફેંક્યો. એક પછી એક બે મોટા ધડાકા થયા. નીચે બૂમરાણ મચી ગયું. માત્ર સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલ, મોતીલાલ નહેરુ અને મહંમદ અલી જિન્ના કંઇ જ ન બન્યું હોય તેમ જ્યાં હતા ત્યાં જ બેઠા રહ્યા. તે પછી ભગત સિંઘે પોતાની પિસ્તોલમાંથી બે ગોળી શુસ્ટર પર છોડી પણ એ ટેબલ નીચે ઘૂસી ગયો. તે પછી ક્રાન્તિકારીઓએ HSRAનાં ચોપાનિયાં નીચે ફેંક્યાં અને ઈંક્લાબ ઝિંદાબાદ, ડાઉન વિથ ઇંપીરિયલિઝ્મ’નાં સૂત્રો પોકારવા લાગ્યા. આખી દર્શક ગૅલેરી ખાલી થઈ ગઈ. પણ એ બન્ને ત્યાં જ રહ્યા. સાર્જન્ટે આવીને પૂછ્યું કે આ તમે કર્યું? બન્ને પાસે હજી બાર કારતૂસ હતાં પણ એમણે એક પણ ગોળી ન છોડી અને આત્મસમર્પણ કરી દીધું.

પોલીસની વૅન એમને લઈને બજારમાંથી પસાર થતી હતી ત્યારે ભગવતીજી, પત્ની અને પુત્ર સાથે ટાંગામાં જતાં હતાં. નાનો સચીન તો ભગતસિંઘને ઓળખી ગયો અને “લંબે ચાચા..” બોલી નાખ્યું પણ ભગવતીચરણ કે દુર્ગાદેવીએ, અને સામી બાજુ ભગત સિંઘે પરસ્પર ઓળખાણનો કોઈ ભાવ ન દેખાડ્યો.
આ કેસમાં ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તને આજીવન કારાવાસની સજા થઈ.
ક્રાન્તિકારીઓનું નિવેદનઃ બહેરાઓને સંભળવવા માટે વિસ્ફોટ
“બહેરાઓને સંભળાવવા માટે બહુ મોટા વિસ્ફોટની જરૂર હોય છે.” ફ્રાન્સના પ્રસિદ્ધ અરાજકતાવાદી શહીદ વૅલિયોંના આ અમર શબ્દો અમારા કાર્યના ઓચિત્યના સાક્ષી છે…”
એમનું નિવેદન આ શબ્દો સાથે શરૂ થાય છે. તે પછી એમણે કહ્યું કે છેલ્લાં દસ વર્ષમાં બ્રિટિશ સરકારે દેશનાં અપમાનો કર્યાં છે. જનતા એવી આશામાં છે કે સાઇમન કમિશન કંઈક ટુકડા ફેંકશે. અને એમાં જે અંદરોઅંદર લડાઈ ચાલે છે ત્યારે સરકાર પબ્લિક સેફ્ટ ઍક્ટ, ટ્રેડ ડિસ્પ્યૂટ એક્ટ અને પ્રેસ સિડીશન ઍક્ટ લઈને આવે છે. આ સ્થિતિમાં HSRAએ આ પગલું લેવાનો પોતાની સેનાને હુકમ આપ્યો છે. બ્રિટિશ નોકરશાહી જે કરવા માગતી હોય તે કરે પણ આ હકુમત કાનૂની છે એવા દંભને વેરણછેરણ કરવાની જરૂર છે. જનતાના પ્રતિનિધિઓને અમારી વિનંતિ છે કે તેઓ આ ઍસેમ્બ્લીનું પાખંડ છોડી દે, પોતાના મત વિસ્તારોમાં જાય અને લોકોને ક્રાન્તિ માટે તૈયાર કરે.
એમણે કહ્યું કે લાલા લાજપત રાયના ખૂનનો બદલો લેવા અમે આ કૃત્ય કર્યું છે. અમે મનુષ્ય જીવનને પવિત્ર માનીએ છીએ. અમને ઉજ્જ્વળ ભવિષ્યમાં વિશ્વાસ છે કે દરેક વ્યક્તિને શાંતિ અને સ્વતંત્રતાનો મોકો મળશે…
આઝાદ ભારતમાં બટુકેશ્વર દત્ત સિગારેટના એજન્ટ
બટુકેશ્વર દત્તને કાળા પાણીની સજા ભોગવવા માટે આંદામાનની જેલમાં મોકલી દેવાયા. ત્યાં એમણે ૧૯૩૩ અને ૧૯૩૭માં ઐતિહાસિક ભૂખ હડતાળ કરી. જેલમાં એક સખત બીમાર થઈ ગયા તે પછી એમને પટના ખસેડ્યા અને ૧૯૩૮માં છોડી મૂક્યા, પણ ફરી પકડી લીધા. છેક ૧૯૪૫માં એ જેલમાંથી છૂટ્યા. ૧૯૪૭માં એ પરણીને પટનામાં જ રહ્યા.
પરંતુ કામ ધંધો કંઈ ન મળે. પછી એક સિગારેટ કંપનીમાં એમને એજન્ટ તરીકે કામ મળ્યું. એ આખો દિવસ સાઇકલ પર બીડી-સિગારેટનાં પેકેટો લાદીને દુકાને દુકાને ફરતા અને ગુજરાન ચલાવતા. ૧૯૬૪માં એમની તબીયત લથડી ત્યારે પટનાની એક હૉસ્પિટલમાં એમને દાખલ કરવા પડ્યા. એમની ચાકરી માટે કોઈ નહોતું, એકલા પડ્યા રહેતા. એમના મિત્ર ચમનલાલે એક લેખ લખીને સવાલ ઊભો કર્યો કે આવા વીરે ભારતમાં જન્મ લઈને ભૂલ તો નહોતી કરી ને? તે પછી સરકારને આંચકો લાગ્યો. એ જ વર્ષે ૨૨મી નવેમ્બરે એમને દિલ્હીમાં ‘એમ્સ’માં દાખલ કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે એમને કૅન્સર હતું. પંજાબના મુખ્ય મંત્રી એમને મળવા ગયા અને પૂછ્યું કે એમના માટે પોતે શું કરી શકે?
આ વીરનો જવાબ ટૂંકો હતો – મારા અંતિમ સંસ્કાર મારા મિત્ર ભગત સિંઘની સમાધિ પાસે કરજો.
૧૯૬૫ની ૧૭મી જુલાઈએ એ કોમામાં ચાલ્યા ગયા અને ૨૦મીએ એમણે શ્વાસ છોડ્યા. એમના અંતિમ સંસ્કાર હુસેનીવાલામાં ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવની સમાધિ પાસે કરવામાં આવ્યા.
૦૦૦
સંદર્ભઃ
- भगत सिंह और उनके साथियों के सम्पूर्ण उपलब्ध दस्तावेज़. संपादकः सत्यम. राहुल फाउण्डेशन, लखनऊ
ISBN 978-81-87728-95-5. | यशपाल, 1951, विप्लव प्रकाशन, लखनऊ
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
