-
ધૂણો
વ્યંગ્ય કવન
કૃષ્ણ દવે
ગુપત જ્ઞાન સંભળાવું, સાંભળ ધ્યાન દઈ હે સખે !ધૂણો ક્યારે ધખે ?સ્વયમ્ ચડે તું ગોટે એવાં જટિલ કાવ્ય જો લખેધૂણો ત્યારે ધખેએરંડિયું પીધાંની પળનો પડી શકે છે ફોટોમુખમુદ્રા ગંભીર રાખ તો બને કવિ તું મોટોવહે હોઠથી વાણી ને આ કાન ચડે જો ડખેધૂણો ત્યારે ધખેબાવન બારૂં, ગહન, ગોખ ને આતમ, અલખ જગાવેઅનહદ, સાહિબ, ચાદર એવા શબદ પરાણે લાવેતો તો તારું સર્જન શાણા વિવેચકો પણ ચખેધૂણો ત્યારે ધખેઘામ થાય પણ ઉતારવી નહીં વિદ્વત્તાની કોટીઆભા ઠાંસી ભરે, ફરે ઝટ પદવી પામે મોટીઅન્ય કવિના કવન સાંભળી મુખ મરકે ના રખે !ધૂણો ત્યારે ધખે -
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનને આંગણે ‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ.
અહેવાલઃ રેખા સિંધલ ( ટેનેસી)
સંપાદનઃ દેવિકા ધ્રુવગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન તરફથી, તારીખ ૨૭મી એપ્રિલ, ૨૦૨૪ના રોજ શારદા-અંબા મંદિરના ઑડીટોરિયમમાં, તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમાં લગભગ ૧૬૫ થી વધુ સાહિત્ય-પ્રેમીઓએ એ પુસ્તકના ૧૨ જેટલા હાજર રહેલા સર્જકો સાથે સાંજ વીતાવી હતી.
અતિથિ-વિશેષ તરીકે ‘વિદેશીની’ તરીકે જાણીતા અને માનીતા કવયિત્રી શ્રીમતી પન્નાબહેન નાયકના હાથે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. વર્ષોથી ‘ગુર્જરી ડાયજેસ્ટ’ નામનું ત્રૈમાસિક અમેરિકામાં પ્રકાશિત કરનાર સાહસિક પ્રકાશક શ્રી કિશોરભાઈ દેસાઈએ પણ હાજરી આપી હતી. એમણે ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ સાથે જોડાઈને આ ‘સ્મૃતિસંપદા’નું પ્રકાશન કર્યું છે; જેમાં પંદર ગુજરાતીઓએ પોતાની જીવનકથામાં પરદેશની ધરતી પરની એમની વિકાસ કથા લખી છે. સાહસ અને વિકાસ સાથે સંઘર્ષમય અનુભવો સ્વાભાવિક જોડાયેલા હોય. આ અનુભવોમાં વિકસેલા ગુણોના અંકુર ગુજરાતની ભૂમિમાંથી વિસ્તરી દરિયાપાર ફેલાયા છે. જીવનના કોઈ પણ ક્ષેત્રે અને કોઈ પણ તબક્કે આ અનુભવોનું ભાથું બળપ્રેરક બની રહે તેવું છે. આ પુસ્તકમાં પંદર લેખકોમાંથી છ હ્યુસ્ટનના રહેવાસીઓ છે અને કેટલાંક તો આ સાહિત્ય સરિતા સાથે વર્ષોથી જોડાયેલાં છે; જેમાંનાં એક એવાં દેવિકા ધ્રુવે, આ સંસ્થાને ‘હ્યુસ્ટનના આંગણે ઊભેલો ગુજરાતી ભાષાનો તુલસીક્યારો” કહી ગૌરવવંતી ઝલક આપી હતી.
શ્રી હસમુખ દોશી, કિરીટ ભક્તા,ઈના પટેલ જેવા અન્ય ઘણા દાતાઓ આ અવસરમાં આર્થિક સહકાર આપી સહયોગી થયા હતા.
કાર્યક્રમની શરૂઆત સંસ્થાના સચિવ શ્રી નરેન્દ્ર વેદે કેટલીક જાહેરાત સૂચનાઓ વગેરે આપ્યા પછી, બરાબર સાંજે ૪ક.૧૦મિનિટે શ્રીમતી જ્યોત્સના વેદની સરસ્વતી વંદનાથી થઈ હતી. તે પછી સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલ મહેતાએ પ્રાસંગિક વક્તવ્ય આપી સૌનું સ્વાગત કર્યુ હતું.
નૃત્યકાર ઉમા નગરશેઠની દોરવણી હેઠળ સંસ્થાની બહેનો દ્વારા દીવડા-નૃત્યની સુંદર રજૂઆત કરવામાં આવી હતી; જેના શબ્દો હતાઃ “મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું”.

તસ્વીર સૌજન્યઃ જયંત પટેલ ત્યારબાદ પુસ્તકના સંપાદક શ્રીમતી રેખા સિંધલે એક પછી એક મહેમાનોની ઓળખ આપી હતી. અમેરિકાનાં અન્ય રાજ્યમાંથી આવેલા આમંત્રિત લેખકોએ અને સ્થાનિક લેખકોએ પોતાનાં વકતવ્ય રજૂ કર્યાં હતાં; જેમાં ફ્લોરિડાથી વિશ્વપ્રવાસીની પ્રીતિ શાહ સેનગુપ્તા, વોશિંગ્ટનથી જાણીતા અર્થશાત્રી ડો. નટવરભાઈ ગાંધી, નેશવીલથી ‘સ્મૃતિસંપદા’ના સંપાદક શ્રીમતી રેખા સિંધલ, કૅલિફોર્નિયાથી શ્રીમતી સપના વિજાપુરા, લાસવેગાસથી શ્રી જગદીશ પટેલ, હ્યુસ્ટનના નાસા કેન્દ્રમાં કાર્યરત અવકાશવિજ્ઞાની ડો. કમલેશ લુલ્લા, ઑસ્ટિનથી શ્રીમતી સરયૂ પરીખ, હ્યુસ્ટનનાં શ્રીમતી દેવિકા રાહુલ ધ્રુવ, શ્રી અરવિંદભાઈ થેકડી તેમ જ શ્રી મનસુખભાઈ વાઘેલાએ પોતાની કેફિયત ટૂંકમાં રજૂ કરી હતી. અતિથિવિશેષ પન્નાબહેન નાયક અને શ્રી કિશોર દેસાઈએ પણ સભાજનોને સંબોધ્યાં હતાં.
‘સ્મૃતિસંપદા’ના જે પાંચ લેખકો આવી નહોતા શક્યા તે ડો. ઈન્દુબહેન શાહ (હ્યુસ્ટન), ડો. જયંત મહેતા(નેશવિલ), ડો. બાબુ સુથાર (પેન્સિલવેનિયા) ડો. દિનેશ શાહ (ફ્લોરિડા) અને શ્રી અશોક વિદ્વાંસ (ન્યૂજર્સી) દ્વારા ઈમેલથી મળેલા તેમના સંદેશાઓ, પ્રમુખ શ્રી નિખિલભાઈએ વાંચી સંભળાવ્યા હતા.
હાજર રહેલા આમંત્રિત મહેમાનોને ‘ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન’ તરફથી સન્માન-પત્ર અને સંસ્થાના logo સાથેની વિવિધ ભેટોનો સંપુટ, સરસ મજાના વિવિધ વૈચારિક અને મનનીય સૂત્રો દા.ત ‘A book is a dream you hold in your hand’ સાથે આપ્યો. તે ઉપરાંત દરેક ભાગ લેનાર, સંસ્થાના સેવાભાવી કાર્યકર્તાઓ અને દાતાઓને પણ ભેટોનો સંપુટ આપ્યો હતો જે સૌએ પ્રેમથી વધાવ્યો હતો. ડો.કમલેશ લુલ્લા તરફથી ‘ચંદ્ર પરથી પૃથ્વીના ઉદય’ની એક વિરલ અને અલભ્ય તસ્વીર પણ સૌને આપવામાં આવી હતી.
આ પ્રસંગે સરસ્વતી મંદિરના પ્રમુખ ડો.દાસિકાજીએ સનાતન ધર્મ વિશે પોતાના વિચારો દર્શાવ્યા હતા અને વ્યવસ્થાપક શ્રી પ્રસાદજીએ મંદિરના સ્થાનના યોગ્ય ઉપયોગ અંગે માહિતી પૂરી પાડી હતી.
સાંજે સાડા છ વાગ્યે, ગુજરાત અને ગુજરાતીઓને અનુલક્ષીને એક સુંદર, મજેદાર ‘શેરાક્ષરી’ની રજૂઆત કરવામાં આવી જેને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. તે પછી શ્રીમતી રિદ્ધિ દેસાઈએ આભારવિધિ કર્યા બાદ આ સાહિત્યિક સંધ્યાની પૂર્ણાહૂતિ થઈ.
છેલ્લે સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી, તૃપ્તિના ઓડકાર સાથે સૌ વિદાય થયા. તે સમયે ઘણી વ્યક્તિઓના હાથમાં ‘સ્મૃતિસંપદા’ પુસ્તકને જોઈ આનંદ રેલાયો.
ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનના વહેતા પ્રવાહમાં ઝબોળાવા સાથે ન્હાવાની મઝાથી મન હજીયે પ્રફુલ્લિત છે.
સૌ આયોજકો, કલાકારો અને અન્ય કાર્યકર્તાઓને આ સફળ કાર્યક્રમ માટે અભિનંદન અને શુભેચ્છા.
—-દેવિકા ધ્રુવ | ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com -
શાન (૧૯૮૦)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
સફળતાના બાપ ઘણા હોય છે, પણ સફળતાની કોઈ ફોર્મ્યુલા હોતી નથી. કોઈક વસ્તુ સફળ જાય એ પછી લોકો તેની ફોર્મ્યુલા ઘડતા હોય એમ મોટે ભાગે જોવા મળે છે. ૧૯૭૫માં રજૂઆત પામેલી રમેશ સીપ્પી દિગ્દર્શીત ‘શોલે’ને હવે તો પચાસ વર્ષ થવા આવશે, છતાં હજી તે લોકોના દિલોદિમાગ પર છવાયેલી છે. એ ફિલ્મનાં પાત્રાલેખન સશક્ત હતાં, સિનેમેટોગ્રાફી અને દિગ્દર્શન ઉત્તમ હતાં, પણ તેની કથા કંઈ એવી અસામાન્ય નહોતી. અનેક વાર્તાઓનું એમાં મિશ્રણ હતું. ‘શોલે’ અગાઉ રમેશ સીપ્પીએ ‘અંદાઝ’ અને ‘સીતા ઔર ગીતા’ જેવી ફિલ્મો બનાવી હતી, જે એકંદરે સફળ હતી એમ કહી શકાય, પણ એમાં કશું અસાધારણ નહોતું. અલબત્ત, તેમના પિતાજી જી.પી.સીપ્પી મોટા ગજાના નિર્માતા હતા.

‘શોલે’ની ગંજાવર સફળતા પછી રમેશ સીપ્પીનું મોટું સાહસ હતું ‘શાન’. શાન રજૂઆત પામવાની હતી એ વખતે તેની પાછળ ખર્ચાયેલા નાણાંના આંકડા પણ પ્રચારનું મહત્ત્વનું અંગ હતા. યાદ છે ત્યાં સુધી એ આંકડો છ કરોડનો હતો. ઊપરાંત ફિલ્મ પણ મલ્ટીસ્ટારર હતી. ‘શોલે’માં રાહુલ દેવ બર્મનનું સંગીત અને આનંદ બક્ષીએ લખેલાં ગીતો પણ ઘણાં લોકપ્રિય થયેલાં. ‘શાન’માં આ જ ગીતકાર અને સંગીતકાર હતા. આમ છતાં, ૧૯૮૦માં રજૂઆત પામેલી ‘શાન’ બુરી રીતે પિટાઈ ગઈ. કારણ જે હોય તે, પણ ‘શોલે’નો જાદુ ‘શાન’માં પુનરાવર્તિત ન થઈ શક્યો. એ જરૂરી પણ નથી, કેમ કે, એ રીતે જોઈએ તો એ પછી આવેલી રમેશ સીપ્પીની ફિલ્મો ‘શક્તિ’ (૧૯૮૨) અને ‘સાગર’ (૧૯૮૫) પણ ખાસ સફળ નહોતી રહી. ઘણી વાર કોઈ સર્જકની એકાદી કૃતિ એટલી લોકપ્રિય બની જાય કે એ આજીવન એની ઓળખ બની રહે. સાચા સર્જકને આ બાબત હંમેશા નડતી રહેતી હોય છે, પણ બીજો કોઈ આરો હોતો નથી.
‘શાન’નું સંગીત એટલે કે તેનાં ગીતો મજાનાં હતાં, છતાં તમામ ગીતો લોકપ્રિય બની શક્યાં નહોતાં.
શશી કપૂર, સુનિલ દત્ત, અમિતાભ બચ્ચન, શત્રુઘ્નસિંહા, રાખી, પરવીનબાબી, બિંદીયા ગોસ્વામી, કુલભૂષણ ખરબંદા, મઝહરખાન સહિત અનેક કલાકારો તેમાં હતા. ફિલ્મનાં કુલ સાત ગીતો હતાં. ‘આતેજાતે હુએ મૈં સબપે નજર રખતા હૂં’ (મહંમદ રફી), ‘પ્યાર કરનેવાલે પ્યાર કરતે હૈ શાન સે’ (આશા), ‘દરિયા મેં જહાજ ચલે પાશા’ (કિશોરકુમાર, આશા, ઉષા મંગેશકર અને સાથીઓ), જાનૂં મેરી જાન, મૈં તેરે કુરબાન (મ.રફી, કિશોરકુમાર, આશા, ઉષા મંગેશકર), ‘યમ્મા યમ્મા યે ખૂબસૂરત સમા’ (રફી, આર.ડી.બર્મન) અને ‘તેરે લિયે જીના, તેરે લિયે મરના’ (લતા, આશા અને સાથીઓ) પૈકીનાં બે-ત્રણ ગીતો હજી વિવિધ અંતાક્ષરીઓ કે કાર્યક્રમોમાં ગવાતાં રહે છે, જ્યારે બાકીનાં ભાગ્યે જ યાદ આવે છે.

(રાહુલ દેવ બર્મન સાથે આનંદ બક્ષી) આ ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે ઉષા ઉથુપના સ્વરમાં ગવાયેલું ગીત ‘દોસ્તોં સે પ્યાર કિયા’ હતું. અંગત રીતે આ ફિલ્મનું મને આ સૌથી ગમતું ગીત છે, કેમ કે, એમાં રાહુલ દેવ બર્મને કંઈક એવી કમાલ કરી છે કે એ ગમે એટલી વાર સાંભળવા છતાં ધરવ થતો નથી. સાવ ‘બીપ બીપ’ જેવા સ્વરથી શરૂ થયા પછી ધીમે ધીમે તેમાં વાદ્યો ઉમેરાતાં રહે છે. ઉષા ઉથુપનો પૌરુષીય અને પડછંદ સ્વર આ ગીતના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. ફિલ્મના ટાઈટલની શૈલી કોઈ અંગ્રેજી ફિલ્મનાં, ખાસ કરીને જેમ્સ બોન્ડની ફિલ્મોમાં આવતા ટાઈટલ જેવી છે, જેમાં એક યુવતી ડોલ્યા કરે અને એની છાયામાં વિવિધ ઈમેજ સુપરઈમ્પોઝ કરાયેલી હોય. એ વખતે કદાચ હિન્દી ફિલ્મોમાં આવું ઓછું જોવા મળતું. આખું ગીત આમ તો માત્ર બે જ લીટીનું છે, એટલે કે એમાં ફક્ત મુખડું જ છે, અંતરો નથી. પણ ટાઈટલ દરમિયાન એમાં ગીતનો અમુક જ હિસ્સો સંભળાય છે. ફિલ્મ સિવાય કેવળ ઓડિયોમાં એ ગીત સાંભળતાં ખ્યાલ આવે છે કે એના ઈન્ટરલ્યુડમાં ‘પ્યાર કરનેવાલે પ્યાર કરતે હૈ શાન સે’ ગીતનું મુખડું તંતુવાદ્યસમૂહ પર વગાડવામાં આવ્યું છે. આ ઉપરાંત, એ વખતે નવા અને કૌતુક સમા ગણાતા ચિત્રવિચિત્ર ધ્વનિઓ પણ એમાં સામેલ છે.
આ ગીતના શબ્દો નીચે મુજબ છે, જેમાં મુખડાની માત્ર બે લીટી ત્રણ ત્રણ વાર આવર્તન પામે છે:
दोस्तों से प्यार किया
दुश्मनों से बदला लिया
जो भी किया हमने किया
शान से शान से
दोस्तों से प्यार किया
दुश्मनों से बदला लिया
जो भी किया हमने किया
शान से शान सेदोस्तों से प्यार किया
दुश्मनों से बदला लिया
जो भी किया हमने किया
शान से शान से
शान से शान सेઆ ગીતના ટાઈટલવાળો ભાગ અહીં સાંભળી શકાશે. ‘પ્યાર કરનેવાલે પ્યાર કરતે હૈ શાન સે’વાળી ધૂન આ હિસ્સામાં નથી. એટલો અંશ ફિલ્મના અંતમાં વાગે છે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ફિલ્મી ગઝલો – ૫૭. અનજાન
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગીતકારોની અડધી સદી વટાવ્યા પછી પણ બે મુખ્ય ગીતકારો રહી ગયા હતા કારણ કે એમની લખેલી ગઝલો શોધી જડતી નહોતી. હવે એ છાનબીનની ફળશ્રુતિ મળી છે તો એમને સામેલ કરી લઈએ.
પહેલાં અનજાન. અસલ નામ લાલજી પાંડે. મૂળભૂત રીતે ગુણી કવિ હોવા છતાં બજારની ચપેટમાં આવીને ઉંદર દોડમાં એ પણ મામુલી ગીતો લખવા માંડેલા. એમના શરૂઆતના સર્જનાત્મક દૌરમાં એમણે લંબે હાથ, ગોદાન, નમસ્તેજી, બહારેં ફિર ભી આએગી, બંધન અને યાદગાર જેવી ફિલ્મો માટે કેટલાક અર્થપૂર્ણ ગીતો પણ લખેલા. ( ‘બહારોં થામ લો અબ દિલ મેરા ‘ – મુકેશ / લતા અને ‘હિયા ઝરત રહત દિન રૈન‘ મુકેશ ). ‘૭૦ અને ‘૮૦ ના દાયકામાં એમણે લખેલા સેંકડો ગીતોમાંથી ભાગ્યે જ કોઈમાં દમ હતો.વર્તમાન યુગના ‘ સફળ ‘ ગીતકાર સમીર એમના સુપુત્ર.
૩૦૦ થી વધુ ફિલ્મોમાં ૧૫૦૦ ઉપરાંત ગીતો છતાં માંડ મળેલી એમની બે ગઝલો :
હરેક દિલ કો હમને ટટોલા હૈ લેકિન કિસી દિલ મેં ભી અબ મુરવ્વત નહીં હૈ
યે દુનિયા બડી બેવફા હૈ યહાં પર કિસી કો કિસી સે મોહબ્બત નહીં હૈજલાકર ખુદ અપને હી દાગે જિગર કો ઉજાલા ભી કર લેંગે હમ અપને ઘર મેં
કિસી ચાંદ સુરજ કી હસરત નહીં અબ કિસી રોશની કી જરૂરત નહીં હૈઅગર અપને અશ્કો કો હમ હુકમ દે દેં તો પલ મેં યે સારી ખુદાઈ બહા દેં
કયામત સે પહેલે કયામત જગા દેં મગર હમકો રોને કી આદત નહીં હૈ…– ફિલ્મ : બાઝાર બંધ કરો ૧૯૭૪
– આશા ભોંસલે
– બપ્પી લાહિરી
ઇસ કદર આપ હમકો જો તડપાયેંગે તો કસમ આપકી હમ તો મર જાયેંગે
આપ કરકે જો વાદા મુકર જાયેંગે તો કસમ આપકી હમ તો મર જાયેંગેના ઘટા હે ના બુંદે ન પૂર્વાઇયાં ફિર ભી ભીગી સી રહેતી હૈં તન્હાઈયાં
ઘિર કે બાદલ જો યુ હી બિખર જાયેંગે તો કસમ આપકી હમ તો મર જાયેંગેઇશ્ક ઇતના જો કરતે સનમ બેરહેમ તો ખુદા કે ભી તેવર બદલ દેતે હમ
આપકા દિલ જો હાસિલ ન કર પાયેંગે તો કસમ આપકી હમ તો મર જાએંગે..– ફિલ્મ : અપને રંગ હઝાર ૧૯૭૫
– લતા
– લક્ષ્મીકાંત પ્યારેલાલ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
મદન મોહન અને મોહમ્મદ રફીનાં સોલો ગીતો દ્વારા બેવડી જન્મ શતાબ્દી ઉજવણી: વર્ષ ૧૯૫૦ થી ૧૯૫૬
મોહમ્મદ રફી – જન્મ શતાબ્દી વર્ષ યાદોની સફર તેમનાં ગીતોને સહારે
સંકલન: અશોક વૈષ્ણવ
મદન મોહન (મૂળ નામ: મદન મોહન કોહલી) – જન્મ ૨૫ જૂન ૧૯૨૪ (બગદાદ બ્રિટિશ ઈરાક઼) । અવસાનઃ ૧૪ જુલાઈ, ૧૯૭૫ (મુંબઈ, મહારાષ્ટ્ર) – નું હિંદી ફિલ્મોમાં સ્વતંત્ર સંગીતકાર તરીકે પદાર્પણ આંખેં ૧૯૫૦) થી થયું. તેમાં એમણે એક ગીત મોહમ્મદ રફી પાસે પણ ગવડાવ્યું, જે સંગીતકાર અને પાર્શ્વગાયક તરીકેના બન્ને વચ્ચેના સંબંધોની પાયાની પહેલી ઈંટ બની રહ્યું.મદન મોહન પ્રકૃતિદત્ત સંગીતકાર હતા.પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તેમની સાથે અકળ રીતે મેળ જ ન પડ્યો. એક બહુ જ જાણીતું ઉદાહરણ લઈએ. ૧૯૬૦ના દાયકામાં મદન મોહને મોહમ્મદ રફીના સ્વરમાં એવાં દસ ગીત રેકોર્ડ કર્યાં જે ક્યારેય રીલીઝ ન થવા પામ્યાં. તેમાંનું કૈસે કટેગી ઝિંદગી તેરે બગૈર (ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન ૧૯૬૪) તો મદન મોહનનાં જ કે રફીનાં શ્રેષ્ઠ ગીતોમાં નહીં પણ હિંદી ફિલ્મના ઇતિહાસનાં શ્રૅષ્ઠ ગીતોમાં ગણાય છે. હર સપના એક દિન (ગીતકારઃ અજ્ઞાત, ૧૯૬૫) અને ક઼દમોંમેં તેરે અય સનમ (ગીતકારઃ પ્રેમ ધવન, ૧૯૬૭) તો મદન મોહનનાં કે રફીનાં ગીતોની યાદીમાં પણ ઉલ્લેખ નથી પામ્યાં.
વળી, આ વર્ષ મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીનું પણ છે. એટલે મદન મોહને રચેલાં મોહમદ રફીનાં વિસરાતી યાદોમાં યાદ રહે એવાં ગીતોની યાદ તાજી કરવાના ઉપક્રમથી વધારે બીજું સારૂં શું શોધવા જવું?મદન મોહન રચિત મોહમ્મદ રફીનાં સ્વરનાં ૧૯૫૦ થી ૧૯૫૬નાં સોલો ગીતોમાંથી આપણે બસ્તી બસ્તી પરબત પરબત ગાતા જાયે બનજારા લેકે દિલ કા એક તારા (રેલ્વે પ્લેટફોર્મ, ૧૯૫૮ – ગીતકાર: સાહિર લુધિયાનવી) બહાર કાઢી લીધું છે કેમકે મદન મોહન – મોહમ્મદ રફીનું આ સૌ પ્રથમ બેહદ સફળ થયેલું ગીત છે.
હમ ઇશ્ક઼ મેં બરબાદ હં બરબાદ રહેંગે, દિલ રોયેંગે તેરે લિયે, આંસુ ન બહાયેંગે – આંખેં (૧૯૫૦) ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન
મદન મોહનની સ્વતંત્ર સંગીતકાર તરીકે પહેલવહેલી ફિલ્મ છે, એટલે ગાયકોની પસંદગી બાબતે તેઓ પ્રયોગ કરે એ સમજી શકાય એવું છે.
જેમકે ફિલ્મમાંના બે કરૂણ ભાવનાં પુરુષ સ્વરનાં ગીતોમાંથી એક ગીત – પ્રીત લગાકે મૈને યે ફલ પાયા મુકેશના સ્વરમાં છે અને મુકેશની ગાયકીને બરાબર અનુરૂપ બન્યું પણ છે. આ ગીતમાં પ્રેમની અસફળતાની કંઈક અંશે મીઠી ફરિયાદનો ભાવ છે.
પ્રતુત ગીત સમયે નાયક હવે શારીરિક રીતે પણ દયનીય કહી શકાય એવી સ્થિતિમાં મુકાઈ ગયેલ છે. તેથી હવે તે હવે ભગ્ન-હૃદય છે અને ગીતમાં ભાવ નિરાશાનો છે. મદન મોહને આ ગીત માટે મોહમ્મદ રફીને પસંદ કર્યા અને તેમની ગાયકીને અનુરૂપ ગીત બનાવ્યાં છે.
આડવાતઃ
આ મણકામાં મદન મોહન અને રાજેન્દ્ર ક્ર્ષ્ણ સયોજનના ગીતો વધારે જોવા મળે છે. આગળ જતાં જેમ જોઈશું તેમ આ સંયોજને હિંદી ફિલ્મોનાં કેટલાંક બેનમુન ગીતો આપ્યાં પણ છે. તે જ રીતે મદન મોહનને રાજા મહેંદી અલી ખાનનાં સંયોજનમાં પણ કેટલીય સર્વકાલિન શ્રેષ્ઠ રચનાઓ મળી છે.
૧૯૧૫૧માં મદન મોહનની બીજી બે સ્વતંત્ર ફિલ્મો – અદા અને મદહોશ – અને સી રામચંદ્ર જોડે ગીતોની વહેંચણી સાથેની ‘શબીસ્તાન’ આવી. અદા અને મદહોશમાં મદન મોહને તલત મહમુદને સફળતાથી અજમાવ્યા. ૧૯૫૨ની ‘આશિયાના’માં પણ મદન મોહને તલત મહમુદને જ મુખ્ય ગાયક તરીકે લીધા. તલત મહમુદની સાથે પણ મદન મોહનનું સંયોજન હિદી ફિલ્મ સંગીતનું એક બહુ સફળ અને મહત્ત્વનું પાનું ગણાય છે.
જબ લડકા કહે હા ઔર લડકી કહે ના તો સમજો કે પ્યાર હો ગયા – અન્જામ (૧૯૫૨) – ગીતકારઃ ક઼મર જલાલાબાદી
આ ફિલ્મમાં મદન મોહને ચચ્ચાર સ્ત્રી ગાયિકાઓને અજમાવી છે, પણ પુરુષ ગાયક એક માત્ર મોહમ્મદ રફી જ છે !
પ્રસ્તુત ગીત સાવ હળવું રોમેન્ટીક ગીત છે.
દુનિયા યે દુનિયા તુફાન મેલ અરે નહી ભૈયા દુનિયા પાગલોંકા બાઝાર સમજે ના – ચાચા ચૌધરી (૧૯૫૩) – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
એક ચોક્કસ સીચ્યુએશન ફિલ્મના કેન્દ્રવર્તી ભાવને રજુ કરતી હોય અને તેને લગતાં એક સરખા મુખડાના આધાર પરનાં અલગ લગ ગીતો બનાવવાં એ કસોટીમાં મદન મોહન પહેલી વાર મુકાય છે, અને સફળતાથી પાર પણ પડે છે.
ફિલ્મમાં ગીત ત્રણ વાર આવે છે. બે વાર વિવિધ ગાયકોના સ્વરમાં પાગલખાનાનાં જીવનનો ચિતાર રજુ થાય છે. ત્રીજી વાર કરૂણ ભાવનાં સોલો ગીત દ્વારા તથાકથિત પાગલને પણ પોતાના મનોભાવ હોય છે એ દર્શાવાયું છે.
ગોરી કી અખીયાં …. નઝર મિલા લે ઓ દિલરૂબા ન કર બહાને ….. છલક રહા હૈ ખુમાર આંખોંસે નઝર મિલા લે ઓ દિલરૂબા – ધુન (૧૯૫૩) – ગીતકાર પી એલ સંતોષી
મદન મોહનનાં નસીબની વક્ર બલિહારી કેવી છે કે ફિલ્મમાં એ સમયની સૌથી સફળ જોડી – રાજ કપૂર અને નરગીસ – છે, પણ ફિલ્મ અને ગીત બન્ને કોઈને પણ યાદ નહીં હોય !
ખેર, જો ગીતની વિડીયો ક્લિપ જોવા મળત તો જોવા મળત કે મોહમ્મદ રફીના સ્વરને રાજ કપૂરે પરદા પર કેમ અભિનિત કરેલ છે.
દુનિયા કે સારે ગમો સે બેગાના મૈં હું મસ્તાના મૈં હું મસ્તાના – મસ્તાના (૧૯૫૪) – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
ફિલ્મના નાયક બેફિકર મુફલિસ તરીકે જોવા મળે છે. ગીતમાં પણ તેઓ પોતાની બેફિક્રીને હળવાશથી લે છે, પણ રહી રહીને એ દશા માટે થોડી નિરાશા પણ ઝલકી જતી અનુભવાય છે.
મોહમ્મદ રફીએ પણ આ બન્ને ભાવને બહુ સહજ રીતે સંતુલિત કરીને ગીતના ભાવને રજુ કરેલ છે.
મત ભુલ અરે ઇન્સાન તેરી નેકી-વાદી ઉસસે નહી છીપી સબ દેખ રહા ભગવાન – મસ્તાના (૧૯૫૪) – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
જ્યારે ફિલ્મના નાયક કે નાયિકાને દિલાસાની કે પ્રેરણાની જરૂર હોય ત્યારે કોઈ સાધુ કે ભિક્ષુક એ મુજબની ગીત ગાતો આવી પહોચે એવું એ સમયની ફિલ્મોમાં બહુ સામાન્યપણે જોવા મળતું.
પ્રસ્તુત ગીતમાં એવા કપરા સમયમાં આવી પડેલ નીગાર સુલ્તાનાને ભિક્ષુક સંદેશો કહે છે કે સરાં કામ ક્યારે પણ નિષ્ફળ નથી રહેતાં, ઈશ્વરના દરબારમાં બધું જ નોંધાય છે.
અપના હૈ ફિર ભી અપના બઢકર ગલે લગા લે અછ્છા હૈ યા બુરા અપના ઉસે બના લે – ભાઈ ભાઈ (૧૯૫૬) – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
અહીં પણ ગીતમાં ફિલ્મની વાર્તાને અનુરૂપ પ્રેરણારૂપ સંદેશ છે. બસ, આ વખતે ગીત બેક્ગ્રાઉન્ડમાં છે અને એક સજ્જન દેખાતા ભાઈને લાઈન ઉતરી ગયેલા દેખાતા બીજા ભાઇને અપનાવી લેવાનો સંદેશ કહેવાયો છે.
તુ આગે તેરે પીછે ….. કબ તક તુ અપને આપ કો ભગવાન સે છુપાયેગા, તેરા લિખા એક દિન તેરે સામને આયેગા – ફિફટી ફિફટી (૧૯૫૬) – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
અહીં સદેશ આપતાં બેકગ્રાઉન્ડ ગીતને ભજન શૈલીમાં સજાવાયું છે.
યે ભૂલ ભૂલે સે કભી હમ તેરી તમન્ના કર બૈઠે, પછતાતા હૈ યે દિલ અબ રહ રહ કર ક્યા કરના થા ઔર ક્યા કર બૈઠે – ફિફટી ફિફટી (૧૯૫૬) – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
ગીતનો ઉપાડ હાર્મોનિયમના સુરની એવી શૈલીથી થાય છે છે કે ગીત શેરીમાં ગવાતું હશે એ વિશે કોઈ શંકા જ ન રહે. હિંદી ફિલ્મોમાં શેરી ગીતો, મુજરા ગીતો વગેરે જેવાં ગીતોને વાસ્તવમાં જે રીતે હાર્મોનિયમની રજુઆત દ્વારા આગવી ઓળખ મળે છે તેને અદ્દલો અદ્દલ રજુ કરાતી રહી છે.
ગરીબોં કા પસીના બહ રહા હૈ યે પાની બહતે બહતે કહ રહા હૈ કભી વો દિન આયેગા – નયા આદમી (૧૯૫૬) – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
ફિલમાં એન ટી રામા રાવ, અંજલી દેવી, જમુના જેવાં કલાકારો દેખાય છે એતળે મૂળ તેલુગુમાં બનેલી ફિલ્મનું આ ડબીંગ કરેલું સંસ્કરણ હશે એવું સમજાય છે. મદન મોહને રચેલાં ચાર ગીતો સિવાય બીજાં ગીતોનાં હિંદી સંકરણ પણ તેલુ સંસ્કરણના સંગીતકાર વિશ્વનથન રામમૂર્તિએ રચેલાં છે.
પ્રસ્તુત ગીત બેકગ્રાઉન્ડમાં ગવાય છે.
યોગાનુયોગ આવું જ એક બીજું ગીત – જો ભી ચાહે માંગ લે ભગવાનકે ભંડાર સે વિશ્વનાથન રામમૂર્તિએ રચેલું છે.
-
એસ ધમ્મો સનંતનો – હિંદુઓની આસ્થાઓ, માન્યતાઓ અને પ્રણાલિકાઓ
પ્રવાસી યુ. ધોળકિયા
અત્યાર સુધી આપણે આ લેખમાળામાં સનાતન ધર્મ અને તેનાં અધ્યાત્મ, સાંસ્કૃતિક મૂલ્યો અને રહસ્યવાદની પરંપરાઓને વટવૃક્ષ તરીકે ઉપમા આપીને સમજવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જેમ જેમ વધારે વિગતોમાં જઈએ છીએ તેમ તેમ સમજાય છે કે આ પરંપરા તો પૃથ્વી પર આવેલા પાંચ મહાસાગરોથી વધારે ઊંડી અને હિમાલયની ટોચથી પણ વધારે ઊંચી છે. તેમાં વિશ્વની લગભગ ૧.૨૫ અબજ જેટલી વસ્તી ધરાવતી હિંદુ પરંપરાનો પણ સમાવેશ થાય છે.
હિંદુ ધર્મના ત્રણ આધાર સ્તંભો છે – પુરાણ, આગમ અને તંત્ર.
આ ત્રણ સ્તંભોની વિગતે વિવેચના કરીએ તે પહેલાં હિંદુઓની આસ્થાઓ, માન્યતાઓ અને પ્રણાલિકાઓનું આકલન કરવું આવશ્યક ગણાશે.
અનેક દેવીદેવતાઓમાં માનતો સનાતની હિંદુ જાણે છે કે આ બધાં દેવી દેવતાઓ જે પરમ ચૈતન્ય અને બ્રહ્મને આધારે ટકી રહ્યાં છે તેમાં પરમ સત્ય રહેલું છે. વળી દરેક માનવી, પશુપક્ષી કે વનસ્પતિ કે કોઈ પણ પ્રકારની અન્ય જીવસૃષ્ટિમાં ઉપરોક્ત બ્રહ્મ આત્મારૂપે રહેલું છે. તેથી કોઇ પણ તરફ કોઈ પણ પ્રકારની હિંસા કરવી કે તેની હત્યા કરવી એ બ્રહ્મહત્યા સમાન છે. તેથી આપણી પરંપરામાં બે મહાવાક્યો છેઃ
અહિંસા પરમો ધર્મ,
અને
યથા પિંડે તથા બ્રહ્માંડે.
સપ્તર્ષિઓ
સનાતન પરંપરામાં સપ્તર્ષિઓને દેવ સમાન ગણવામાં આવ્યા છે તેનું કારણ એ છે કે આ સપ્તર્ષિઓએ જ માનવજાતને સંસ્કારોથી સુસંસ્કૃત કરી છે.
પુરાણોમાં સપ્તર્ષિઓનાં નામોની નીચે મુજબની અલગ અલગ યાદીઓ મળે છેઃ
૧) અત્રિ, મરીચિ, અંગિરસ, ભ્રૂગુ, વશિષ્ઠ, પુલસ્ત્ય, કૃતુ
૨) કંદર્પ, અગ્નિ, ધર્મ, દતાત્રય, દુર્વાસા, બૃહસ્પતિ, કશ્યપ
૩) કપિલ, જમદગ્નિ, માર્કંડેય, પરશુરામ, વિશ્વકર્મા, અજૈ એકપાદ, જિષ્ણુ
બીજી અને ત્રીજી યાદીમાં દર્શાવેલા સપ્તર્ષિઓ પ્રથમ યાદીના સપ્તર્ષિઓના વંશજ છે.
હિંદુઓ પંચદેવો બ્રહ્મા, વિષ્ણુ, શિવ, આદ્યાશક્તિ અને સૂર્ય ઉપરાંત ગણપતિ અને હનુમાનજીની આરાધના કરે છે. જ્યારે ભારતીય સમાજમાં વેદધર્મ ગતિશીલ હતો ત્યારે તેમાં ચૌદ પ્રકારના યજ્ઞોને પ્રાધાન્ય મળ્યું. આ પછી યજ્ઞોમાં પશુબલિ અને અતિમાત્રામાં ધનની આવશ્યકતા થવાને કારણે સામાન્ય વ્યક્તિ માટે યજ્ઞો દુર્લભ બન્યા. વેદકાળ પછી સ્મૃતિકાળ આવ્યો. ઋષિઓએ આ કાળમાં સાત પ્રકારના યજ્ઞો પ્રયોજ્યા. આ સરળ અને ઓછા ખર્ચાળ યજ્ઞો કરવા પણ હિદુઓ અસમર્થ નીવડ્યા.
આ પરિસ્થિતિમાં મનુસ્મૃતિએ દરેક વ્યક્તિ યજ્ઞ કરીને ઋણ મુક્તિ પામી શકે એ માટે પાંચ યજ્ઞોની પરંપરા કાયમ કરી. આ યજ્ઞોમાં દેવ, ઋષિ, માનવ જાત (અતિથિ) અને પંચમહાભૂતથી બનેલી અન્ય જીવસૃષ્ટિ માટે આદર વ્યક્ત કરતા યજ્ઞો બતાવાયા. તે ઉપરાંત મનુએ લોકોને સમજાવ્યું કે દિવંગત સગાં સંબંધી માટે પણ તર્પણ કરવું જોઈએ. મનુએ પાંચમા યજ્ઞ તરીકે પિતૃ તર્પણનો સમાવેશ કર્યો. કાળક્રમે આ પાંચ યજ્ઞોમાંથી સામાન્ય હિદુઓ અમુક જ યજ્ઞો કરવા લાગ્યા. તેમ છતાં આપણા ઋષિઓએ પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા. અંતે આદિયોગી મહાદેવ દ્વારા પ્રચલિત ૧૦૮ પ્રકારની યોગવિધિ, યોગેશ્વર શ્રી ક્રુષ્ણ દ્વારા પ્રયોજિત સરળ યજ્ઞો અને પતંજલિ દ્વારા ઉપદેશિત અષ્ટાંગ યોગ માર્ગનો રાજમાર્ગ આપની મુક્તિ માટે સુગમ બનાવ્યો.
સ્વામી શ્રી વિવેકાનંદ કહે છે કે ધર્મ એ હિંદુની ‘સિગ્નેચર’ (આગવી ઓળખ) છે. જીવનનાં દરેક પાસાંઓમાં આપણા ઋષિઓએ ધર્મને વણી લીધો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો દરેક વૈષ્ણવપંથી અને શક્તિમાં માનનારા શાકતપંથીઓ અનુક્રમે ભગવાન વિષ્ણુ, તેના અવતારો શ્રી રામ અને કૃષ્ણ અને માતાજીને ભોજનનો થાળ ધર્યા વિના પોતે ભોજનનો પહેલો કોળિયો ગ્રહણ નથી કરતા. તે જ રીતે સાર્ત અને શિવપંથીઓ (ખાસ કરીને બ્રાહ્મણો) પોતાના ભોજનનો પ્રાંરભ કરતાં પહેલાં ત્રાંબાનાં એક વાસણ (ત્રભાણું – તરભાણું – ત્રાંબટ)માં અગ્નિ મુકી તેના પર ઘી અને રાંધેલા ભાતની આહુતિ આપીને વૈશ્વદેવોને ભોજનની આપે છે. થાળીમાં જે આહાર પીરસવામાં આવ્યો છે, તેમાથી બધું થોડું થોડું ગ્રહણ કરીને પાણીની અંજલિ આપીને ગ્રહણ કરેલું ભોજન ત્યાં ધરાવે છે. આપણે તેને ‘અપુસણ’ તરીકે ઓળખીએ છીએ. ભોજન લીધા પછી આ સમગ્રી ખુલ્લાં આંગણમાં મુકવામાં આવે છે, જ્યાં ઉડતાં પક્ષીઓ અને અન્ય જીવજંતુઓ તેને ખાઈને તૃપ્ત થાય છે. આજથી લગભગ ૭૫ વર્ષ પહેલાં હિંદુઓ ગાયને ચારો અને પાણી અને કૂતરાં જેવાં મૂંગાં પ્રાણીઓને ખાવાનું અચુક આપતા. તે ઉપરાંત અતિથિની પણ અચુક રાહ જોવાતી. હવે આ પ્રથા લગભગ નામશેષ થઈ ગઈ છે.
આજના સમયમાં એટલી અપેક્ષા જરૂર કરી શકાય કે દરેક હિંદુ તેના ઘરમાં ઘીનો દીવો અને અગરબત્તી જરૂર કરશે.
કર્મવાદ: પૂર્વજન્મ અને પુનર્જન્મ
દરેક હિંદુ કર્મવાદ – પૂર્વજન્મ અને પુનર્જન્મ -માં ખુબ જ વિશ્વાસ ધરાવે છે. વર્તમાન જીવનમાં આપણે જે કંઈ કામ કરી છીએ તેની પાછળ આપણા પૂર્વજન્મનાં કારણોની અસર ચોક્કસપણે છે તેમ માનવામાં આવે છે. તે ઉપરાંત, આપણા આ જન્મનાં કર્મો હવે પછી થનારા પુનર્જન્મનાં કારણો તરીકે મહત્ત્વનાં બની રહે છે. આમ સંસારચક્રમાં મનુષ્યે જે અસંખ્ય જન્મો ધારણ કરવા પડે છે તેના પર તેનાં કર્મોની સૌથી વિશેષ પકડ છે. કર્મોનાં બંધનમાંથી શ્રી રામ અને કૃષ્ણ જેવા આપણા અવતાર પુરુષો પણ બચી શક્ય નથી.
જ્યાં સુધી કોઈ વ્યક્તિ સદાચારી અને આસક્તિ રહિત જીવન જીવે નહીં, અને ભક્તિ અને યોગ માર્ગનો આશ્રય ન લે, ત્યાં સુધી તેણે ચોર્યાસી લાખ યોનિઓમાં જન્મજન્માંતર સુધી ભટકવું પડે છે. હિંદુ પરંપરા કરતાં પણ શ્રમણ પરંપરામાં કર્મવાદ પર ગહનતમ અને અતિ સૂક્ષ્મ વિશ્લેષણ જોવા મળે છે. તેઓ પણ હિંદુઓની મુક્તિના માર્ગની જેમ કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કરવાનું, અને નિર્વાણ માટે કર્મોનો ત્યાગ કરવાનું, સુચવે છે.
ઋણાનુબંધનો સિદ્ધાંત
આપણી સનાતન પરંપરાઓનો એક અદ્વિતિય સિદ્ધાંત ઋણાનુબંધનો છે. કોઈ માતાપિતા સાથે સંતાન તરીકે જન્મવાના સાથે શરૂ થતા સંબંધની સાથે આગળ જતાં ભાઈઓ બહેનો અને જીવનસાથી સાથે બંધાતા સંબંધો પણ આ ઋણાનુબંધથી બાધિત છે. તે ઉપરાંત વિદ્યાભ્યાસ, ગૃહસ્થ તરીકેના કાર્યો, કોઈ પણ વ્યવસાયમાં પ્રવૃત થવું, તેમાં તમારા સહકર્મીઓ કે વડાઓ સાથેના સંબંધો પણ ચોક્કસ ઋણાનુબંધથી જોડાયેલા છે. પૂર્વજન્મનાં સંચિત કર્મો અને પ્રારબ્ધ કર્મો પણ આપણે વર્તમાન જીવનમાં જીવવાનાં છે. જ્યાં સુધી આ બધી રીતે સંકલિત વ્યક્તિઓ સાથે આપણો ઋણાનુબંધ પૂર્ણ ન થાય ત્યાં સુધી જીવનમાંથી મુક્તિ કે મોક્ષ મેળવવાં અશક્ય છે. વિશ્વના યહુદી, ખ્રિસ્તી, ઈસ્લામિક જેવા અબ્રાહમી ધર્મોમાં આવા કર્મવાદ કે પુનર્જન્મના સિદ્ધાંતનો કોઈ ઉલ્લેખ નથી. તેઓ માત્ર વર્તમાન જન્મમાં જ શ્રદ્ધા ધરાવે છે.
ભારતીય ઋષિઓએ સનાતનીઓ માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થનો અદ્ભૂત સિદ્ધાંત રજૂ કર્યો છે. તે ઉપરાંત માનવજીવનનાં ૧૦૦ વર્ષનાં આયુષ્યને ધ્યાનમાં લઈને ૨૫ – ૨૫ વર્ષના ચાર કાળખંડોને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એમ ચાર આશ્રમોમાં જીવનને વિભાજિત કરેલું છે. ઋષિઓનો એવો આગ્રહ છે કે વ્યક્તિએ પહેલા બે આશ્રમોમાં સ્વાભાવિક જીવન જીવવાનું હોય છે. એ આશ્રમોનો સમય પુરો થાય ત્યારે તેની ઉમર ૫૦ વર્ષની થઈ હોય, એટલે તે પછી પોતાનાં કુટુંબ સાથે શાંતિથી રહીને, પછીનાં ૨૫ વર્ષમાં પ્રભુભક્તિ, અનાસક્તિ અને મૌન વડે ધીરે ધીરે પોતાની જાતને દૈવી જીવન તરફ વાળવાની હોય છે. એ પછીના જીવનનાં શક્ય શેષ વર્ષોમાં તેણે કૌટુંબિક અને સામાજિક જીવનક્રમમાંથી નિવૃતિ લઈને ભાવિ પેઢીના ઉત્કર્ષ માટે પ્રયત્નો અને પ્રાર્થના કરીને અંતિમ વિદાય માટે તૈયાર થવાનું હોય છે. દુર્ભાગ્યે, આજે આપણો વરિષ્ઠ વર્ગ ભોગવાદી બનતો ગયો છે. પરિણામે કૌટુંબિક વિખવાદો અને ક્લેશ વધ્યાં છે. જેનું એક પરિણામ વર્તમાન પેઢીને ભોગવવુ પડતું અસુખમય જીવન છે.
હિંદુ પરંપરામાં મંદિરોનું સ્થાન
હિંદુઓ માટે તેમનાં મંદિરોમાં જવાનું અનિવાર્ય નથી મનાયું. મંદિરોનાં આજે જોવા મળતાં મહત્વની પાછળ આજથી લગભગ ૪,૦૦૦ વર્ષ પૂર્વે શ્રમણ પરંપરાના બૌદ્ધ અને જૈન ધર્મનો પ્રસાર મહત્ત્વનો છે. આ ધર્મોની અસર હેઠળ, સમ્રાટ અશોક અને કનિષ્ક જેવા શાસકોએ સમગ્ર ભારતવર્ષને ૮૪,૦૦૦ જેટલા સ્તૂપો, ચૈત્યો, વિહારો અને અનેક જિનાલયોથી વિભૂષિત કર્યું. આ પરંપરાના આટલા બધા પ્રભાવક વિકાસના પરિણામે આખો સમાજ અહિંસા અને સન્યાસ તરફ વળી ગયો. પરિણામે આપણા દેશ પર પર્શિયન, શક, પલ્લવ, ગ્રીક અને હૂણ લોકોનાં જે આક્રમણ થયાં તેનો અસરકારક પ્રતિભાવ ન આપી શકાયો. દેશનાં સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક પાસાંઓને ભારે ધક્કો પહોંચ્યો. સામાજિક અને આર્થિક પાસાંઓને ભારે ધક્કો પહોંચ્યો. દેશના તત્કાલીન હિતવર્ધકોએ આ પરિસ્થિતિનો પ્રતિકાર કરવા રૂપે દેશમાં મૌર્ય, ચૌલ અને પાંડ્યની રાજ્યવ્યવ્સ્થા કાયમ થાય તે અંગેના પ્રયત્નો આદર્યા. આ ભગીરથ કાર્યને પાર પાડવાનું બીડું ચાણક્ય અને અન્ય મુત્સદીઓએ ઉઠાવ્યું.
આ રાજવીઓએ ધીરે ધીરે શ્રમણ પરંપરાનાં ધાર્મિક સ્થાનકોને બદલે મંદિરોની સ્થાપના કરી. આપણા આરાધ્ય દેવો વિષ્ણુ, શિવ, આદ્યાશક્તિ, ગણપતિ, સૂર્ય અને હનુમાનજીનાં વિશાળ દેવાલાયો રચાયાં. આ માટે પુરાણો ઉપરાંત આગમો અને તંત્રોમાં લિંગ સ્થાપન તેનો આકાર, ઊંચાઈ, શાલિગ્રામ અને વિષ્ણુ ભગવાનની મૂર્તિઓ વગેરેનાં માપ અને સ્થાનકો તરીકે મંદિરો વિશે વૈજ્ઞાનિક ઢબે ગ્રંથો લખાયા. આ માટે કામિકાગમ, વૈખાનસ સંહિતા, પંચરાત્રગ્રંથો જેવાં આગમો અને માતાજીની એકાવન શક્તિપીઠો માટે અનેક તંત્રશાસ્ત્રોની રચના થઈ. તેમાં ભૈરવો, કુળદેવતાઓ અને દેવીઓ તેમ જ ક્ષેત્રપાળોને પણ ઉચિત સ્થાનો અપાયાં. ઐતિહાસિક કારણોસર આજે બ્રહ્માજીની પૂજા – અર્ચના નથી થતી, પણ કોઈ પણ મંગલ કાર્ય કે મંદિર સ્થાપનમાં બ્રહ્માજીનું સ્થાન ન હોય તે અશક્ય છે. ગણપતિને વિઘ્નહર્તા અને માગલિક કાર્યોના આરંભિક દેવ તરીકે સ્થાન અપાયું.
આ દેવદેવીઓ ઉપરાંત હિંદુઓને વિષ્ણુના દશાવતાર, ખાસ કરીને રામ, તેમના પરમ ભક્ત હનુમાન અને કૃષ્ણમાં અનન્ય શ્રદ્ધા છે. તેથી તેમનાં પણ ભવ્ય મંદિરોની રચના થઈ. તાજેતરમાં અયોધ્યામાં રામમંદિરમમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આખો દેશ હિલોળે ચડ્યો હતો !
મંદિરોનાં વિજ્ઞાન પર સમરાંગણ સૂત્ર અને મ્યમટના ગ્રંથમાં વિવિધ પ્રકારની અધિકૃત માહિતી મળી રહે છે. આધુનિક સમયમાં શ્રીમતી સ્ટેલા કેમરિશ્ચ, ટી ગોપીનાથ રાવ, મધુસૂદન ઢાકી અને સોમૈયા પરિવારે પણ અદ્ભૂત ગ્રંથો લખ્યા છે. વિદેશી આક્રમકોએ ૪૦ થી ૬૦ હજાર મંદિરો ધ્વસ્ત કર્યાં હતાં તેમ છતાં હિંદુ આસ્થા તરીકે મંદિરની સંસ્થા ટકી રહી.
મંદિરો વિશેનાં રહસ્ય જાણવાં હોય તો વાચકોએ ઓશો રજનીશ, સદ્ગુરુ વાસુદેબ અને પ્રવિણ મોહનનાં પ્રવચનો સાંભળવાં જોઈએ. મંદિરોમાં હિંદુઓનો પ્રાણ વસે છે. તેથી જ કાશી અને મથુરાના મંદિરોનો કબજો લઈને પુનરોદ્ધાર કરવાની માંગ પ્રબળ બની રહી છે.
વ્રત, તપ અને ઉપવાસ
સનાતનીઓ વ્રત, તપ અને ઉપવાસમાં માને છે. એક ગણતરી પ્રમાણે આજથી જ્યારે મુસલમાનો ભારત વર્ષ પર ચડી આવ્યા હતા ત્યારે તે સમયના સમાજમાં ૨૬૦ જેટલાં વ્રતોનું પ્રચલન હતું. વ્રત અને તપ ઉપરાંત આપણાં શાસ્ત્રો તીર્થાટન કરવાનું પણ સૂચવે છે. આજથી લગભગ પચાસ વર્ષ પૂર્વે ભારત રત્ન પ્રાપ્ત શ્રી પી વી કાણેએ પાંચ ધર્મશાસ્ત્રો પ્રકાશિત કર્યા છે. તેમાંના એક ગ્રંથમાં તેઓએ ૨,૫૦૦ તિર્થસ્થળોનાં નામોની યાદી આપી છે. વાચકોને એ જાણીને સદુઃખ થશે કે આ યાદીમાં સૈથી વધારે સ્થળો કાશ્મીરમાં આવેલા છે, જેના ભગ્નાવશેષો જોઈને મન દુઃખી થાય છે. પાકિસ્તાનના મુલતાન પ્રાંતમાં સૂર્યનું સૌથી વિશાળ મંદિર હતું, જેનો નાશ મુસલમાનોએ લગભગ ૭૫૦ વર્ષ પહેલાં કરી નાખ્યો હતો. આજે પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હજારોની સંખ્યામાં લોકો હુમલાઓ કરીને મદિરોની તોડફોડ કરે છે.
હિંદુ સંસ્કારો
દરેક હિંદુ માટે શાસ્ત્રોમાં સોળ પ્રકારના સંસ્કારો પાળવાનો આગ્રહ રાખવામાં આવે છે. આજે ભારત આધુનિક બન્યું છે. લોકોને સમયની ખેંચ પણ બહુ નડે છે. તેથી હવે હિંદુઓ ફક્ત નીચે મુજબના સંસ્કારો અનુસરે છે.
૧) ગર્ભવતી માતા અને ગર્ભસ્થ શિશુના સુખ અને સ્વાસ્થ્ય માટે કરાત સીમંત સંસ્કાર
૨) બાળકના જન્મ પછી છઠ્ઠી તિથિએ થતા વિધિ લેખના સંસ્કાર
૩) બાળકનું નામકરણ
૪) બાળકનું અન્નપ્રાશન
૫) ચૌલકર્મ સંસ્કાર
૬) બ્રાહ્મણો માટે ઉપનયન સંસ્કાર
૭) શળા પ્રવેશ સમયે સરસ્વતી પૂજન
૮) વયસ્ક થાય ત્યારે વિવાહ અને લગ્ન સંસ્કાર, અને
૯) મૃત્યુ પછીના આત્મા મુક્તિ અને શ્રાદ્ધના સંસ્કાર
લગ્નપ્રસંગે થતો સપ્તપદી સંસ્કાર સમગ્ર વિશ્વમાં અજોડ છે. પોતાનાં નિકટનાં સગાંના મૃત્યુ પછી અમુક નિશ્ચિત સ્થળોએ જ અંતિમ શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે.
મંત્રો અને સ્તુતિઓ
હિંદુઓ માટે કેટલાક મંત્રો અને સ્તુતિઓ અનિવાર્ય ગણાય છે. તેમાં ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનું સ્થાન વિશેષ છે. નવગ્રહ સ્તુતિ, ૐ નમો શિવાયઃ, શિવ મહિમ્ન સ્તોત્ર, ૐ નમો ભગવતે વાસુદેવાય, ૐકાર નાદ, પુરુષ સૂક્ત, ગણપતિ માટે વક્રતુંડ મંત્ર, માતાજી માટે દુર્ગાસપ્ત સ્તુતિ, શક્રાદય સ્તુતિ, સૂર્ય ભગવાનનાં બાર નામો વડે કરાતું આહ્વાન ( શ્રી સૂર્ય નમસ્કાર મંત્ર), હનુમાન ચાલિસા, અને પોતપાતાની માતૃભાષાઓમાં ગવાતી આરતીઓ આમાં મુખ્ય છે.
કર્મકાંડ
દરેક સનાતની કુટુંબ પ્રથાનો હિમાયતી હોય છે. આપણાં શાસ્ત્રોએ ગૃહસ્થના પરિવારની શંતિ અને સુખાકારી માટે અનેક કર્મકાંડ પ્રયોજ્યાં છે. વાચકોએ આ માટે વધારે જાણવું હોય તો બ્રાહ્મણ ધર્મશાસ્ત્રો અને ધર્મસૂત્રોનો અભ્યાસ કરવો જોઈએ.
જ્યોતિષ
ખગોળશાસ્ત્રના નવગ્રહો તેના જીવનની દિશા નક્કી કરે છે એવું લગભગ દરેક સનાતની હિંદુ માને છે. તેના જન્મ સમયે આ નવગ્રહો તેની જન્મપત્રિકામાં કયાં સ્થાનોએ સ્થિત છે તે મુજબ તેની જીવનયાત્રા ચાલે છે. એક ગણતરી મુજબ આજે ભારતમાં ૨૨ લાખથી વધારે જ્યોતિષીઓ છે. આમાંના ૯૦ ટકાથી વધારે તો આ વિજ્ઞાનનો દુરુપયોગ કરીને આસ્થાવાન જનતાને ખોટા સાચા ઉપાયો સુચવી, નંગો પહેરાવીને છેતરે છે. પરિણામે આ મહાન વિદ્યાને ભારે ક્ષતિ પહોંચી છે.
વર્તમાન સમયના મહાન જ્યોતિશ્રાષીઓમાં બી વી રામન, સુરેશચંદ્ર મિશ્રા, કે એન રાવ, દેવેશ કુમાર પાઠક, ઉમેશ કુમાર મિશ્રા, સંજય રથ, નરસિહરાવ વગેરે મુખ્ય ગણાય છે. ગુજરાતના પણ બે – ત્રણ જ્યોતિષીઓ વિશ્વકક્ષાની પ્રતિભા ધરાવે છે.
પર્વો અને ઉત્સવો
હિંદુઓ માટે વર્ષ દરમ્યાન આવતાં વ્રતો અને ઉત્સવોનું આગવું મહત્ત્વ છે. મકર સંક્રાંતિ, વસંત પંચમી, મહાશિવરાત્રી, હોળી – ધુળેટી, ગુડી પડવો, રામ નવમી, હનુમાન જયંતિ, મહાવીર જયંતિ, બુદ્ધ પૂર્ણિમા, રક્ષા બંધન, ગણેશ ચતુર્થી, કૃષ્ણજન્માષ્ટમી, નવરાત્રી – દુર્ગા પુજા, વિજયા દસમી, ભાઈબીજ, નવું વર્ષ, છઠ પુજા જેવા ઉત્સવો મોટે ભાગે ધર્મ સાથે જોડાયેલા હોય છે. તે ઉપરાંત મકર સંક્રાંતિ, હોળી, ઓનમ -પોંગલ, વસંત પંચમી (બૈસાખી), નવરાત્રી જેવા ઉત્સવોનો સંબંધ ઋતુઓ સાથે પણ હોય છે. મોટા ભાગના તહેવારોની ઉજવણી જે તે પ્રદેશની સામાજિક પરંપરા કે ભૌગોલિક પરિસ્થિતિઓ અનુસાર થતી હોય છે.
દક્ષિણ ભારતમાં ઘણા ઉસવોની ઉજવણી વિશ્વવિખ્યાત મંદિરોમાં કરવામાં આવે છે, જેની વિધિ આગમ શાસ્ત્રોમાં આપવામાં આવી છે. આપણે ગુજરાતીઓ ઘરમાં ઉજવાતા ઉત્સવો, ખાસ કરીને રક્ષાબંધન,માં માંડલું (મંડળ) કરીએ છીએ. આ માંડલાંમાં ૐકાર અને સ્વસ્તિક પણ દર્શાવાય છે. આ મંડળ એક તાંત્રિક રચના છે. દરેક મંદિરનાં શિખરોમાં આવાં મંડળો કોતરવામાં આવે છે. આ મંડળના વિજ્ઞાન પર મહાન માનસશાસ્ત્રી કાર્લ જંગે તેમના ગ્રંથોમાં ખુબ જ વિશદ ચર્ચા કરી છે અને એ રીતે ભારતીય સંસ્કૃતિને અંજલિ આપી છે.
ગીત – સંગીતદરેક હિંદુને ગીત – સંગીત પ્રિય હોવાનાં જ. ભજન – કિર્તન અને લોકસંગીત ભારતનાં લોકજીવનમાં વણાઈ ગયેલ છે. શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત વિના ભારતીય સંસ્કૃતિની ઓળખ અધુરી ગણાય. બંગાળી સંસ્કૃતિની એક આગવી ઓળખ તેનું રવીન્દ્ર સંગીત છે. બોલપટના વિકાસ સાથે ફિલ્મ સંગીત પણ સામાન્ય માનવી માટે મનોરંજનનું સરળ માધ્યમ બની ગયું. પશિમી સંસ્કૃતિના સહેવાસમાં ભારતે પાશ્ચાત્ય સંગીતને પણ પોતાનાં સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં સ્થાન આપ્યું.આંદ્ર માર્લો નામના ફ્રેન્ચ વિચારકે સાચું જ કહ્યું છે કે અમે પશ્ચિમના લોકો કંઈ પણ સારૂં નરસું અનુભવીએ ત્યારે કાવ્યની રચના કરીએ છીએ. પરંતુ, આવા પ્રસંગોએ ભારત ગીત – સંગીતમાં ડુબી જાય છે.શ્રૃંગાર અને સૌભાગ્ય
દરેક સનાતની કન્યા કે સ્ત્રી કપાળ પર બીંદી, હાથમાં બંગડી, કાનમાં કર્ણકુંડળ અને નાકમાં વાળી ધારણ કરતી. આજે પણ હજુ મોટા ભાગની હિંદુ સ્ત્રીઓ આ પ્રથાને અનુસરતી જોવા મળે છે. આ માટે સુવર્ણ કે ચાંદી તેમની પહેલી પસંદ રહેતી, અને આજે પણ છે. પરણ્યા પછી સ્ત્રી આ બધાંને સૌભાગ્યનાં પ્રતીક માને છે.
શિક્ષણ – ગુરુકુળ પ્રથા
સોળમી સદીથી આપણા દેશ પર મુસ્લિમોનાં આક્રમણો શરૂ થયા. પછી તો એ લોકો દેશના શાસકો પણ બની ગયા. ત્યાં સુધી આપણી ગુરુકુળની પ્રાચીન શિક્ષણ પ્રથા થોડે ઘણે અંશે ટકી ગઈ. ત્યાર બાદ આપણા દેશ પર યુરોપના શાસકોએ તેમનું રાજ્ય કાયમ કર્યું. તેઓએ પશ્ચિમી પદ્ધતિથી દાખલ કરેલી શિક્ષણ પ્રથાએ ગુરુકુલ પદ્ધતિનો અંત આણ્યો. પરિણામે આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ સાવ જ વિસરાઇ ગઈ અને છેલ્લાં ૧૨૫ વર્ષમાં થયેલી આપણી પેઢીઓ તો પશ્ચિમી સંસ્કૃતિની નકલ કરતી પ્રજા બની ગઈ.
સ્નાન અને સુતક
કુટુંબમાં બાળકનો જન્મ થાય કે કોઈ સદસ્યનું અવસાન થાય તો ઘરનાં બધાં લોકોએ સ્નાન કરવું અને સુતક પાળવું અનિવાર્ય ગણાતું. આજે હવે આ પ્રથા ધીરે ધીરે વિસરાતી જાય છે. વડીલો એવું સમજાવે છે કે નવજાત શીશુને અન્ય લોકોના સંસર્ગથી સંભવિત સંક્રમણથી બચાવવા માટે સુતક પાળવામાં આવતું. મૃત્યુ પછી સુતક પાળવાનું મૃતકની સાથેનાં સગપણનું દ્યોતક હતું. સ્નાન કરવું એ મૃતક પ્રત્યે સન્માનનું પ્રતીક હતું અને પોતાના દેહની શુદ્ધિ પણ કરતું.
હિંદુ પરંપરામાં આટઆટલી સમાનતા અને સકારાત્મકતા પ્રેરક પ્રણાલિકાઓ રૂઢ થઈ હોવા છતાં હિંદુ સમાજથી બે અક્ષમ્ય અપરાધો થયા.
નારીશક્તિની અવહેલના અને ઉપેક્ષા
પહેલો અપરાધ, દેશની વસ્તીમાં લગભગ નારીશક્તિનો ૫૦% હિસ્સો હોવા છતાં તેની સતત અવહેલના અને ઉપેક્ષા થતી રહી. કન્યાઓનાં લગ્ન સાવ બાળવયે જ નક્કી કરી દેવાતાં. પરિણામે, તે માંડ હજુ પંદરેક વર્ષની થાય ત્યાં સુધી તો માતૃત્વ ધારણ કરી લેતી. વળી તેને બાળકો પણ ઘણાં થતાં.તેને કારણે સ્ત્રીઓની શારિરીક તંદુરસ્તી નબળી રહેતી. ગર્ભાવસ્થા દરમ્યાન તેની પુરતી કાળજી ન લેવાતી એટલે સ્ત્રીઓ, અને નવજાત શીશુઓનું, મરણનું પ્રમાણ, ભારત સ્વતંત્ર થયા બાદ પણ છેક ૧૯૭૦ સુધી, પણ ઘણું ઊંચું રહેતું.
કુટુંબમાં કે સમાજમાં સ્ત્રીનું કોઈ આગવું સ્થાન નહોતું. પુરુષોની પણ સરેરાશ આવરદા ઓછી હોવાથી સ્ત્રીઓના એક મોટા વર્ગને વૈધવ્યાવસ્થા વેઠવી પડતી. વિધવા સ્ત્રીઓને આખું જીવન પડદા પાછળ, નરક જેવી અવસ્થામાં, પસાર કરવું પડતું હતું.
સનાતન સમાજે આ રીતે પોતાનાં અડધાં અંગ પર ભારે અત્યાચાર કર્યો. હિંદુ પરંપરાના ગૌરવમય ભૂતકાળની આ કલંક કથા છે.
જોકે કન્યા શિક્ષણ અંગેની જાગૃતિ વધતાં જવાની સાથે સાથે હવે આ પરિસ્થિતિ સુધરવા લાગી છે. આજની ભારતીય નારી માટે હવે બધાં ક્ષેત્રોમાં તકો વધવા લાગી છે. સમાજમાં તેનું મહત્ત્વ વધતું જતું જોવા મળે છે.
આમ, હવે આ બાબતે, દેશનું ભાવિ ઉજ્જવળ જોઈ શકાય છે.
દલિતો અને આદીવાસીઓ સાથેનો અમાનવીય વર્તાવ
સનાતન સમાજનો બીજો અક્ષમ્ય અપરાધ છે વસ્તીના ચોથા ભાગ જેટલી સંખ્યા ધરાવતા દલિતો અને આદીવાસીઓ સાથે અમાનવીય કહી શકાય એ કક્ષાનો વ્યવહાર. તેથી આપણો સમાજ ઘાતકી માનસનો, અને પાપભોગી, બન્યો. જોકે દૈવી સત્તા પાસે આવા અપરાધો માટે સમાજને દંડિત કરવાના અનેક કવિમય માર્ગો હોય જ છે. સૌ પ્રથમ તો, આ શક્તિએ દેશને પહેલાં મુસલમાનો અને પછી બ્રિટિશ પ્રજા હેઠળ ગુલામ બનાવ્યો. પરિણામે. આર્થિક અને બૌદ્ધિક દૃષ્ટિએ આપણો દેશ ખુબ પછાત દશામાં આવી ગયો.
છેલાં ૧૦૦ વર્ષોમાં રાજા રામમોહન રાય, જ્યોતિબા ફૂલે, મહાત્મા ગાંધી, ડૉ. બી આર આંબેડકર વગેરે જેવા અનેક દૂરંદેશી સમાજસુધારકો આપણા સમાજને આ બે અપરાધગ્રસ્ત માનસમાંથી બહાર નીકળવા માટે અનન્ય પ્રેરણા પુરી પાડી. તદુપરાંત સ્વતંત્ર ભારતની લોકશાહીના રક્ષકો અને બંધારણના ઘડવૈયાઓએ સમાવેશી અનામતો અને કેટલાક મહત્ત્વના મૂળભૂત અધિકારો આપીને દેશના દલિતો, આદીવાસીઓ અને નારીઓને સશક્ત કરવાના પ્રયાસોનો સંગીન પાયો નાખ્યો. આમ, દેશની ભાવિ પેઢીને આશાસ્પદ ભવિષ્ય શક્ય બન્યું છે.
અહીં એક ખાસ બાબતની નોંધ પણ લેવી ઘટે છે.
આજે હિંદુ સમાજ ત્રણ પ્રકારની માનસિકતામાં વહેંછાઈ ગયેલો દેખાય છે. ૭૦ પ્રતિશત સામાન્ય લોકો હિંદુ ધર્મ પ્રત્યે ભક્તિ અને શ્રદ્ધા ધરાવે છે. તેની સામે, પાંચ પ્રતિશત લોકો હિંદુ ધર્મને એકદમ નીચો ગણીને તેને તોડી પાડવા કટિબદ્ધ રહેતો જણાય છે. આ વર્ગમાં અમુક પ્રકારના બૌદ્ધિકો, ડાબેરીઓ, નવઉદારવાદીઓ, નક્સલો અને નાસ્તિકોને ગણી શકાય. વિદેશી આક્રમણકારો કરતાં પણ આ વર્ગે હિદુધર્મને વધારે અન્યાય કર્યો છે. ત્રીજો વર્ગ બાકીના ૨૫ પ્રતિશત હિંદુઓનો છે જે હિંદુ ધર્મ પ્રત્યે ઉદાસીન છે. તેમાની આ ઉદાસીનતાથી પણ આપણે નિર્બળ બન્યા છીએ.
જોકે છેલ્લાં થોડાં વર્ષોમાં હિંદુ ધર્મ અને સનાતની પરંપરા માટે દેશમાં નવો રસ જાગ્યો છે. ઇન્ટરનેટ અને ડિજિટલ સામાજિક માધ્યમો જેવી આધુનિક પ્રત્યાયન સગવડોને કારણે વેદ, ઉપનિષદો, પુરાણો, ભગવદ્ગીતા, તંત્રો અને આગમો પર બહુ જ વિદ્વતાપુર્ણ વિવેચનો ઉપલબ્ધ થવા લાગ્યાં છે. હિંદુઓ અને અન્ય સનાતનીઓને હવે એ જ્ઞાન થવા લાગ્યું છે કે આપણી મહાન પરંપરામાં આપણે શ્રદ્ધા કેળવવાની છે.
આજથી લગભગ ૮૦૦ વર્ષ પૂર્વે સંત શ્રી મામૈદેવે એવી આગાહી કરી છે કે ૨૧મી સદીના અંત સુધીમા ભારત હિંદુ રાષ્ટ્ર બનશે અને સમગ્ર વિશ્વ સનાતન ધર્મને માન અને શ્રદ્ધાથી જોશે. તેનું એક ઉદાહરણ ચિદમ્બર મંદિરની તાંડવ નૃત્ય મૂર્તિને વિશ્વની વિખ્યાત વૈજ્ઞાનિક સંસ્થાનાં પ્રાંગણમાં મળેલ સ્થાનમાં જોઈ શકાય છે.

સી ઈ આર એન, સ્વિત્ઝરલેંડનાં પ્રાંગણમાં નટરાજ – તસવીરઃ નેટનાં સૌજન્યથી આજના આ મણકાનું સમાપન જેનું રટણ મનને પ્રગાઢ અસર કરે છે શિવોહ્મ સ્ત્રોત્ર કરીશું
હવે પછીના મણકામાં આપણે વિશ્વની રચના અને પંચદેવોનું મહાત્મ્ય વિષે ચર્ચા કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
-
બાળ ગગન વિહાર – મણકો – ૩૭ : વાત અમારી તાન્યાની
શૈલા મુન્શા
આજે અચાનક મને મારી તાન્યા યાદ આવી ગઈ. વાત એમ હતી કે મારા ક્લાસની સાહિરાના મમ્મી સાથે મારા સંબંધ સારા હતા અને એ અવારનવાર ફોન કરી સાહિરાની પ્રગતિની વાત કરતાં. આજે એમનો ફોન આવ્યો અને એ સાથે જ મને સાહિરાની પ્રતિકૃતિ જેવી તાન્યા યાદ આવી ગઈ.
તાન્યા આવી ત્યારથી એના લક્ષણ બધાં સાહિરા જેવા હતાં. ઈસ્માઈલ અને ડુલસે જેવા જુના બાળકો જેઓ સાહિરા સાથે ક્લાસમાં હતાં એ તો એને સાહિરા જ કહેતાં. નટખટ અને જમાદાર તાન્યાને બસ ક્લાસમાં બધા પર રુઆબ કરવા જોઈએ. જાણે એનાથી ચઢિયાતું કોઈ ના હોવું જોઈએ.
એક પ્રસંગ હજી મને બરાબર યાદ છે. આમ તો રોજના એના નખરાંને તોફાનોનું જ એક આખું પુસ્તક ભરાઈ જાય. એ દિવસે અમારા ક્લાસની બીજી છોકરી લેસ્લીની વર્ષગાંઠ હતી. લેસ્લી છ વર્ષની થઈ હતી. એની વર્ષગાંઠ ક્લાસમાં ઉજવી એટલે તાન્યા નારાજ થઈ ગઈ, બસ જીદ કરવા માંડી કે મારી વર્ષગાંઠ કેમ નહિ, અને હું ચાર વર્ષની કેમ ? એને કેટલું સમજાવ્યું પણ બેન માનવાને તૈયાર જ નહિ. કોમ્પ્યુટર પર “હું કોણ છું” ની રમત શરૂ કરીએ અને તાન્યાનો વારો આવે તો એ ચાર ને બદલે છ મીણબત્તી જ પોતાની કેક પર મુકે. ચાર વર્ષની તાન્યા જાણે અમારા બધાની દાદી હોય એવો એનો રૂઆબ.
એના રૂવાબનો બીજો એક પ્રસંગ! અમારા આ દિવ્યાંગ બાળકો સવારે સાડા સાત વાગ્યે સ્કૂલમાં આવી જાય અને બપોરે ત્રણ વાગ્યે ઘરે જાય. ત્રણથી છ વર્ષના અને તે પણ દિવ્યાંગ બાળકો માટે આ સમય ઘણો લાંબો થઈ જાય એટલે જમ્યા પછી અમે એમને એકાદ કલાક સુવાડી દેતાં એક દિવસ તાન્યાબહેન ધમાલના મૂડમાં હતાં. એને સુવું નહોતું એટલે આજુબાજુ સુતા બાળકોને પણ અવાજ કરી સુવા નહોતી દેતી. જાણી જોઈને હસ્યા કરે, જાતજાતનાં ચાળા કરે. છેવટે મીસ મેરીએ જરા ગુસ્સો કરી એને ત્યાંથી ખસેડીને રૂમના બીજા ખૂણે એકલી સુવાડી. હું ત્યારે જમવા ગઈ હતી. જ્યારે પાછી આવી તો તાન્યાને અલગ જગ્યાએ જોઈને સમજી ગઈ કે એણે કાંઈક તોફાન કર્યું લાગે છે. મેરીએ મને બધી વાત કરી પણ તાન્યા તો રડું રડું થતી સુતી હતી.
અમે બંને ટીચર જ્યારે આવું કોઈ બાળક સાથે થાય ત્યારે એક શિક્ષકે ગુસ્સો કર્યો હોય તો બીજું મનાવી લે, એટલે મેં તાન્યાને ને જુદા સુવાનું કારણ પુછ્યું અને સમજાવી પટાવી પાછી એની મૂળ જગ્યાએ સુવા જવાનું કહ્યું. મેરીએ પણ એને બોલાવી પણ હજી એનો ગુસ્સો મેરી પરથી ઉતર્યો નહોતો. બીજી બાજુ મોઢું કરીને એ સુવા જતી રહી. કલાક પછી ઉઠવાનો સમય થયો અને નાસ્તાનો સમય થયો. મેરીએ તાન્યાને નાસ્તો કરવા બોલાવી તો ના કહીને બેસી ગઈ.
આટલી નાની છોકરી ને પણ જાણે સ્વમાન કેટલું વહાલું હતું કે બસ મને ગુસ્સો કર્યો જ કેમ? જો કે બે મીનિટમાં બધાને બીસ્કીટ ખાતા જોઈ નાસ્તાના ટેબલ પર આવી ગઈ અને પાછી અમારી રમતિયાળ તાન્યા બની ગઈ.
આ બાળકો સાથે કામ કરવાની એજ મજા છે. એમની રીસ પણ લાંબી ટકતી નથી અને એમનો ગુસ્સો પણ લાંબો ટકતો નથી.
આ બાળકોને ભલે બીજી બહુ લાંબી સમજ નહિ હોય પણ એટલું એમને ખબર છે કે ટીચર એમને ખુબ વહાલ કરે છે અને મને પણ એ જ સંતોષ હમેશા રહેતો.
રીસાયા પછી પણ જ્યારે આ બાળકો વહાલથી આવી અમને વળગી પડતાં એ વ્હાલ, એ પ્રેમ જેણે અનુભવ્યો હોય તે જ જાણે.
આજે આટલાં વર્ષ પછી પણ એ દિવ્યાંગ બાળકો અને એમની મીઠી યાદ મારો અમુલ્ય ખજાનો છે.
કાશ આ નિર્દોષતા બધામાં હોય, ગુસ્સો ભુલી જઈ વહાલ ભર્યું વર્તન હોય તો દુનિયાની તાસીર કાંઈક જુદી જ હોત!!
અસ્તુ,
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
વાચકને પોતીકાપણાનો અહેસાસ કરાવતી સ્મરણકથા
પુસ્તક પરિચય

ત્રિખંડ ત્રિવેણી :વલ્લભ નાંઢા પરેશ પ્રજાપતિ
આજે આપણી આસપાસ નજર ફેરવીએ તો લગભગ દરેક પોળ કે સોસાયટીમાંથી; અને ક્યાંકતો ઘરદીઠ એકાદ વ્યક્તિ કેનેડા, ઓસ્ટ્રેલિયા, લંડન, અમેરિકા અથવા આરબ દેશોમાં હશે અથવા એ દિશામાં કાર્યવાહી કરતી હોવાનું જણાશે. દાયકાઓ પહેલાં વ્યવસાયિક ધોરણે, ખાસ કરીને કારીગર વર્ગમાં આ પ્રવાહ આફ્રિકા તરફનો હતો. આફ્રિકા સ્થાયી થનાર વ્યક્તિ પછી પોતાના સગાં કે મિત્ર અથવા ગામના અન્ય કુશળ કારીગરને ત્યાં આવવાનું ઇજન આપતી. આજે 86 વર્ષની વયેપહોંચેલા આપુસ્તકના લેખક, વલ્લભભાઇ નાંઢા કિશોર વયે પિતાની પાછળ આફ્રિકા પહોંચેલા અને ત્યાં સારો એવો સમય ગાળ્યા પછી લંડન સ્થાયી થયા. અન્નનો કોળિયો જેમ ચાવીએ તેમ મોંમાં વધુ મીઠાશ વર્તાય; તેવું જ વલ્લભભાઇને પોતાની જીવનસફર બાબતે જણાતું. સફરમાં વિવિધ તબક્કે આવેલા વળાંકો, મુકામો અને પડાવો તેમજ કથામાં આવેલા આરોહ અને અવરોહ તેમને વધુ આકર્ષક અને રોમાંચક જણાયા. વીતેલા સમયમાં સંબંધોની હૂંફ, ઉષ્મા અને મીઠાશનો અહેસાસ ગાઢ હોવાનું તેમને લાગતું. વલ્લભભાઇ મૂળે લેખક જીવ. લેખક તરીકેની સફરમાં વાર્તાસંગ્રહો, નવલકથાઓ, સંપાદનો અને સાહિત્યિક લેખો લખ્યા છે. આ આંક ૧૭ જેટલો છે. તેમણે પોતાના સંભારણાને અક્ષરસ્વરૂપ આપ્યું. સંભારણા છેવટે જીવનકવન જ રજૂ કરે. લેખક હોવાના નાતે તે સુપેરે જાણતા હતા કે ચરિત્રલેખન માટે અલગ કૌશલ્યની જરૂર પડે. આથી આ પુસ્તક પ્રકાશિત કરતાં પહેલાં તેમણે જાણીતા ચરિત્રલેખક બીરેન કોઠારીની મદદ લીધી અને તેમના કૌશલ્યને બિરદાવ્યું છે.
આ પુસ્તકમાં લેખકના ત્રણ ભૂખંડોમાં જીવાયેલા જીવનને આધારે કથાને ત્રણ ખંડમાં વહેંચીને આલેખાઇ છે. પહેલા ખંડમાં લેખકના પરિવારની પૂર્વભૂમિકાથી માંડી લેખકની જન્મભૂમિ કુતિયાણાની ભૂગોળ અને ત્યાં વીતેલા બાળપણની રોચક વાતો છે. આઝાદી સાથે ભારતના ભાગલા થયા અને જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનું નક્કી કર્યું. કુતિયાણા જૂનાગઢની નવાબી હકૂમતમાં આવતું હોવાથી તે સમયના તંગ માહોલ અને આરઝી હકુમત વિશે રસપ્રદ વાતો છે.
બીજા ખંડમાં લેખકની આફિકા તરફની સફર અને સંજોગોનું બયાન છે;એ ઉપરાંત લેખકને મળેલા શિક્ષકો અને શિક્ષણ તેમજ તેમણે અપનાવેલી શિક્ષક તરીકેની વ્યવસાયિક કારકીર્દીની વાતો પણ છે. આ ખંડમાં મુગ્ધાવસ્થામાં પાંગરેલા પ્રેમની પાકટતાની અદભૂત અને હૃદયસ્પર્શી કથા પણ છે. આફ્રિકામાં વસતા ગુજરાતી સમાજનું ઝીણવટભર્યું ચિત્રણ તેમાં છે, જે પૃથ્વીના જુદા ગોળાર્ધમાં વસતા ગુજરાતીઓના જીવન અને જીવનશૈલી પર પ્રકાશ પાડે છે.
લેખક માંડ સ્થાયી થયા ત્યાં રાજકીય સંજોગો બદલાયા. ટાંગાનિકા – ઝાંઝીબારનું જોડાણ થયું અને તાન્ઝાનિયા અસ્તિત્વમાં આવ્યું.સરકાર અને કાયદા બદલાયા. એશિયનો માટે અજંપો પેદા કરતી હવેની પરિસ્થિતીમાં લેખકે લંડનની વાટ પકડી. શિક્ષણ ક્ષેત્રમાં કારકીર્દી અપનાવી ચૂકેલા લેખક નવી ભૂમિમાં નવેસરથી પોતાના પગ ટેકવવાની કવાયતના ભાગરૂપે દરજીકામ કરે છે; બસમાં કંડક્ટર અને રેલ્વેમાં બુકીંગ ક્લાર્ક તરીકે નોકરી પણ કરે છે. એક નવા જ ભૂખંડમાં નોકરી મેળવવાની આ કવાયત અને વાસ્તવિક અનુભવોનું રોચક બયાન પુસ્તકના ત્રીજા ખંડમાં આવરી લેવાયું છે. યુ.કે.માં વસતા ગુજરાતીઓના જીવનનો પણ ઘણો અંદાજ મળી રહે છે.
આ પુસ્તકનું સૌથી રસપ્રદ પાસું એક ચોક્કકસ સમયગાળાને આવરતાં લખાણો છે. આવરી લેવાયેલી ઘટનાઓ ભલે લેખકની આસપાસ ફરે, પરંતુ માનવીય સંબંધોની ઉર્મિઓ ઝીલતી કથાઓ એટલી તો સુંદર અને સહજ રીતે આલેખાઈ છે કે વાંચનાર હર કોઇને તેમાં પોતીકી કથાનો અંશ દેખાય છે. ભારત ઉપરાંત આફ્રીકા તથા યુ.કે. (લંડન) – એમ ત્રણ ભૂખંડોમાં પથરાયેલી આ કથામાં અનાયાસે જે તે દેશોની સાંસ્કૃતિક છબી બખૂબી ઉપસતી હોવાથી આ પુસ્તક સામાજિક બાબતોના અભ્યાસુઓ ઉપરાંત ઇતિહાસના અભ્યાસુઓ માટે પણ મહત્વનું સાબિત થાય તેમ છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
ત્રિખંડ ત્રિવેણી: વલ્લ્ભ નાંઢા
પૃષ્ઠસંખ્યા : 274 | કિંમત : ₹ 475/
પ્રથમ આવૃત્તિ :એપ્રિલ 2024પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :ઝેન ઓપસ, જૂની હાઇકોર્ટ મેટ્રો સ્ટેશન પાસે, નવરંગપુરા પોલિસ સ્ટેશન લેન, અમદાવાદ- 380 009
સંપર્કઃ +91 79- 26561112, 4008 1112
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
-
સંસ્પર્શ : ૧
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
નભમંડળમાં અનેક તારલાઓ ટમટમતાં હોય છે પણ તે બધાં માંથી જુદો પડી અચલ ,અવિરત નોખો નિખરી આવતો , પોતાનાં તેજ-પૂંજ અને ઓજ થકી ટમટમતો ધ્રુવનો તારો કેવો અનોખો લાગે છે! સાહિત્યનાં નભાકાશમાં પણ પોતાના નોખા સર્જન થકી અનોખા તરી આવતા ધ્રુવદાદાનાં ગીતો,નવલકથાઓ વાંચતાં ,તેમને મળીને ,સાંભળીને જે વાત મનને સ્પર્શી ગઈ અને શરીર-મનમાં ક્યારેક ઝણઝણાટી કે પરમ સાથેનાં પમરાટ સાંભળવાની ચાવી બતાવી ગઈ, જીવન જીવવાની સાચી અને સરળ વાત સમજાવી ગઈ તે સ્પર્શને તમારા સુધી પ્રસરાવવાનો નમ્ર પ્રયત્ન કરવો છે.
તમે ચાલતાં ચાલતાં ઊભા રહી ઝાડ સાથે વાત કરી છે? ખુલ્લા પગે, વહેલી સવારે લીલાંછમ્મ ઘાસ પર પડેલાં ,સાચાં મોતી જેવાં ઝાકળને જોઈને સાચાં મોતી જોયા હોય તેવો આનંદ મેળવ્યો છે? સાગર કિનારે ઊભા રહી વેગ અને ધૂધવાટનાં આવેગ સાથે આવતા મોજાને જોઈ ,તમારો પ્રેમી તમને પ્રેમથી નવડાવવા,દોડીને મળવા આવી રહ્યો હોય તેવો ઉન્માદ અનુભવ્યો છે? નદીની રેતીમાં છીપલાં વીણતાં બાળકને જોઈને તમારાં બાળપણની નિર્દોષતા સ્મરી છે? તમારા ગામની નદી સાથેની માતા જેવી મમતા નદીમાં પગ બોળી અનુભવી છે? વરસાદમાં કાળા ભમ્મર વાદળો સાથે વાત કરી તમારાં પ્રિયજનને સંદેશા મોકલ્યા છે?વીજળીનાં ઝબકારામાં વાદળનાં ગડગડાટમાં પરમને ઘોડે સવારી કરી,હણહણાટ કરતાં ઘોડાઓ સાથે વીજળી રૂપી બેટરી પૃથ્વી પર ફેંકતો અનુભવ્યો છે?ફૂલોને પવનની સંગ ડોલતાં જોઈ તેની પવન સાથેની પ્રીતને અનુભવી છે?સૂરજનાં તેજને આંખોમાં ભરી હ્રદયમાં ઉતારી પરમની જ્યોતને ભીતરમાં ઝળહળતી જોવા પ્રયત્ન કર્યો છે? પૂનમની ચાંદનીને ધૂંટડે ઘૂંટડે પીને તમારાં ઘરની મીણબત્તી ઓલવી, ચાંદનીની શીતળતાને રોમે રોમમાં ભરી રોમાંચિત થવાનો પ્રયત્ન કર્યો છે?
તો આવો,કરીએ આ અનુભવની અનુભૂતિનેા સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન. પ્રકૃતિનાં પંચમહાભૂત તત્વો સાથે એકાત્મ કેળવી ,માનવતાનો ધર્મ જ શ્રેષ્ઠ ધર્મ છે ,અને પ્રકૃતિમાં જ પરમનો અનુભવ છે,પ્રેમ સર્વત્ર વ્યાપ્ત છે,તેમ જેમના સર્જન અને ગીતો દ્વારા સમજાવતાં ધ્રુવદાદાની વાત કોઈને ન સ્પર્શે તો જ નવાઈ?
ખાદીનાં સદરામાં કોઈપણ જાતનાં દેખાડા વગર, હિંચકાં પર,સાવ સાદા ઘરમાં ,હીંચકતું સાવ અદકેરું વ્યક્તિત્વ એટલે સૌનાં વ્હાલાં ધ્રુવદાદા.જેવી વાતો તેવું જ વર્તન. ગામડાંનાં આદિવાસી બાળકો સાથે ,તેમની વચ્ચે બેસી,બાળક બની ,અચરજ પમાડે તેવી આધ્યાત્મિકતાને પામી ,સૌ સાથે તેને વહેંચવાનું કામ કરવું તે ધ્રુવદાદા.
ધ્રુવદાદાએ તેમનાં સર્જનો દ્વારા માણસોનાં કોયડાઓ ઉકેલવાની વાત કરી છે.ધર્મ એટલે માનવતા અને દરેક માણસમાત્રને પ્રેમ કરવો અને અખિલ બ્રહ્માંડને પોતીકું બનાવી આખી સૃષ્ટિનાં સર્જનને પ્રેમ કરી,કંઈક પામવું.અને પામતાં પામતાં ભીતરનાં અંધકારમાં અજવાળું કરવા પ્રયત્ન કરી અંતરમાં ઝાંખવું. આમ ઝાંખતા ઝાંખતા ધ્રુવદાદા ગાઈ ઊઠે છે,
અમે જળને ઝંકાર્યા તો વાદળ થઈ ગયું,
માટી ફંફોસી તો મહોર્યો મોલ,
અમે સપનું ઢંઢોળ્યું તો ભીતર બોલિયું,
તું નીંદર ઓઢી લઈને આંખો ખોલ.હમણાં જ ક્યાંક સાંભળ્યું હતું કે અંતરમાં અજવાળાં પાથરવા અજવાળાનાં સાત મેઘધનુષ રંગોની જરુર પડે. તે રંગો છે જ્ઞાન,સત્ય,પ્રેમ,સર્જન,સેવા,શ્રધ્ધા અને આનંદનાં રંગો.આ સાત રંગો તમે પામી શકો તો તમે જીવનમાં અજવાળું પ્રાપ્ત કરી શકો. સ્વપ્નવત્ જીવનમાંથી જ્ઞાનનાં પ્રકાશને પાથરી ભીતરને જગાડવાનું છે.ધ્રવદાદાએ કેટલી સરસ વાત કરી કે ‘નીંદર ઓઢી તું આંખો ખોલ.’ પ્રેમ અને સત્યનાં જ્ઞાનથી કરાએલ આ સર્જનનો સ્પર્શ મને કોઈ અનોખા આનંદ તરફ ખેંચી જાય છે.આગળનાં શબ્દો તો જુઓ,
અમે પરોઢિયે વહી આવ્યો ટહુકો સાંભળ્યો,
વૃક્ષોને પૂછ્યું કોનો આ બોલ,
પાને-પાન ઊછળતી ચમકી ચાંદની
શબદ કહે તું સાતે સાંકળ તોડ.શબદની સાંકળ ખોલી બોલવાનું નથી પણ કબીર કહે છે ,તેમ મૌનનો મહિમા કરવાનું આપણને ધ્રુવદાદા શીખવે છે.માણસ સૌથી ખુશ ક્યારે થાય છે? જ્યારે તે પોતાની જાતને ભૂલી પ્રકૃતિનાં સર્જનમાં ખોવાઈ જાય છે.હિમાલયનાં બરફાચ્છાદિત પહાડોની વાદીઓમાં, ખળખળ વહેતી નદીનાં પ્રવાહ પાસે,કૈલાસની પરિક્રમા કરતાં ,૨૧૦૦૦ ફૂટની ઊંચાઈએ પૂનમની રાતે નભમંડળનાં ચમકતાં તારલાઓની રજાઈ નીચે ઊભા રહી, ખુદને ભૂલી ચાંદની રાતમાં ખોવાઈ જાવ તે જ શું મોક્ષ નથી? સત્ ચિત્ આનંદ એટલે સ્વ ને ભૂલી જવું.એ અનુભવ જ રુચિકર,અદ્વિતીય,અનોખો અને અદ્ભૂત હોય છે.પ્રકૃતિ પાસે જવા માણસ પ્રેરાય છે કે તેની પાસે જઈ માણસ એવો આનંદ મેળવે છે કે તે મેળવ્યા પછી તે બધું ભૂલી એમાં ખોવાઈ જાય છે.ઓશો કહે છે બધું ભૂલી ,તમારી જાતને પણ ભૂલી ,ખોવાઈ જવું તે જ મોક્ષ અને તે જ ધ્યાન.
અને મકરંદ દવે ગાઈ ઊઠે છે,
કોઈ તારું વાગશે,કોઈ તળિયા ચાટશે,
તું તમા ન લેશ કર, બસ ખેલતો જા હસ કર.અજવાળાની યાત્રા સહેલી નથી પણ ધ્રુવદાદાની આંગળી પકડી ચાલીશું ,તો જરૂર સફરમાં આગળ વધાશે ખરું.તે રસ્તો બતાવવા દીવો તો ધરશે જ.શબદને છોડી, અક્ષરને ગ્રંથોમાં વાંચી રટવા કે ઓળખવાનો બદલે દાદા શું કરવાનું કહે છે તે તો સાંભળો,
અમે ગ્રંથોને ખોલ્યા ને કોરા સાંભળ્યા,
અક્ષર બોલ્યા ઓળખવાનું છોડ,
અમે
‘નહીં ગુરુ’ ‘નહીં જ્ઞાન ‘લઈ નીકળ્યા,ડુંગર માથે રણકી ઊઠ્યા ઢોલ.અને મને યાદ આવે છે કોઈ અજ્ઞાત કવિની પંક્તિઓ ,
તું રાખ ભરોસો ખુદપર,તું શાને શોધે છે ફરીસ્તાઓ,
સમંદરનાં પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ
તોય શોધી લે છે રસ્તાઓ…..આવતા અંકે ધ્રુવદાદાની બીજા સંસ્પર્શની વાતો સાથે ફરી મળીશું.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
જોયા કરતાં બગાડ્યું ભલું
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
‘જીવ્યા કરતાં જોયું ભલું’, ‘ફરે તે ચરે, બાંધ્યું ભૂખે મરે’ જેવી કહેવતો ફરવાનો મહિમા દર્શાવે છે. ફરવાથી નવિન બાબતો નજરે પડે છે, મુશ્કેલ પરિસ્થિતિમાં અનુકૂલન સાધવાનો ગુણ વિકસે છે, અને સરવાળે તે દૃષ્ટિને વિશાળ તેમજ વ્યાપક બનાવે છે. આ પ્રકારની કહેવતો કદાચ એવે સમયે અસ્તિત્વમાં આવી હશે કે જ્યારે બહાર ફરવું આજના જેટલું સરળ નહીં, પણ મુશ્કેલ હતું.
હવે પ્રવાસ કરવો સામાન્ય બની રહ્યો છે. એમાં પણ ઈન્ટરનેટના આગમન પછી ક્રાંતિ સર્જાઈ છે. વિશ્વના કોઈ પણ સ્થળ વિશેની માહિતી આંગળીના ટેરવે સુલભ બની છે, અને પ્રવાસ આયોજન માટે જરૂરી બુકિંગ આગોતરું કરી શકાય છે. આને કારણે પ્રવાસની પદ્ધતિમાં પણ ધરમૂળથી પરિવર્તન આવ્યું છે, જેમાં કોવિડની મહામારી પછી દેખીતો ફરક નજરે પડી રહ્યો છે. કોવિડ પછીના સમયગાળામાં લોકો બેફામ રીતે ફરવા લાગ્યા છે. કોઈ પણ સ્થળે હવે લોકોનાં ટોળેટોળાં ઉમટવાં સામાન્ય બન્યું છે. પ્રવાસને કારણે જે તે સ્થળના અર્થતંત્રને લાભ અવશ્ય થાય છે, પણ તેની સામે સ્થાનિક પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે એ ભરપાઈ કરવું મુશ્કેલ છે.
પ્રવાસીઓના પ્રચંડ ધસારા સામે સ્પેનમાં આવેલા મયોકા ટાપુના રહીશોએ લીધેલું પગલું એક જુદા પ્રકારની શરૂઆત છે એમ કહી શકાય. સવા નવેક લાખની વસતિ ધરાવતો આ ટાપુ સહેલાણીઓમાં અતિ પ્રિય બની રહ્યો છે. વરસેદહાડે અહીં દસથી બાર લાખ સહેલાણીઓની અવરજવર રહે છે. સ્વાભાવિક છે કે મયોકાના અર્થતંત્રમાં પ્રવાસનનું પ્રદાન મહત્ત્વનું હોય. સહેલાણીઓનું મુખ્ય આકર્ષણ અહીંના સમુદ્રતટ પર સૂર્યસ્નાન કરવાનું હોય છે. સહેલાણીઓના ધસારાથી, તેને લઈને શહેરને થતા નુકસાનથી ત્રાસીને મયોકાવાસીઓએ નક્કી કર્યું કે આ વરસે તેઓ પ્રવાસીઓ સામે દેખાવ કરીને તેમનો વિરોધ કરશે.
૧૬ જૂનના રવિવારના દિવસે તેમણે ‘ઓક્યુપાય ધ બીચ’ (સમુદ્રતટ પર કબજો કરી લો)નું એલાન આપ્યું અને વહેલી સવારે એકઠા થઈને સમુદ્રતટે પહોંચી જઈને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું. વીસેક રહીશોથી આરંભાયેલી રેલીમાં લોકો જોડાતા ગયા અને સંખ્યા ત્રણસોએ પહોંચી. સવારના આઠે શરૂ થયેલી રેલી બપોરે એક વાગ્યે સમુદ્રતટે પહોંચી. પ્રવાસીઓને આ વિરોધ પ્રદર્શનનો હેતુ સમજાવતાં ફરફરિયાં વહેંચવામાં આવ્યાં.1
આ અગાઉ મે, ૨૦૨૪ના અંતમાં દસેક હજાર રહીશોએ મયોકાની શેરીઓમાં સરઘસ કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ‘મયોકા વેચાણ માટે નથી’, ‘રહીશોને બચાવો’, ‘બહુ થયું પ્રવાસન’ જેવાં લખાણવાળાં પોસ્ટર તેમના હાથમાં હતાં. આ સમાચાર પ્રસરતા ગયા એટલે બુકિંગ કરાવ્યું હોય એવા પ્રવાસીઓએ મયોકાની હોટેલોમાં પૂછપરછ કરવા માંડી. કેટલાકે બુકિંગ રદ પણ કરાવ્યું હશે!
વિચારવાનું એ છે કે મયોકાનિવાસીઓ કઈ હદે ત્રાસી ગયા હશે કે પોતાની આજીવિકાના મુખ્ય સ્રોત પર પાટુ મારવાનું જોખમ લેવા તેઓ તૈયાર થયા!
મયોકાનું ઉદાહરણ કંઈ એકલદોકલ નથી. ઈટલીના મિલાન શહેરના સત્તાવાળાઓએ રાતના સાડા બાર પછી પીત્ઝા અને આઈસક્રીમનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લઈ લીધો હતો. કેમ કે, પ્રવાસીઓની મોડી રાતની ગતિવિધિઓથી સ્થાનિકોને ઘણી હેરાનગતિ થઈ રહી હતી. જો કે, પછી આ નિર્ણય પાછો ખેંચાયો, પણ આ નિર્ણય લેવા પાછળની પરિસ્થિતિ સમજવા જેવી છે.
સ્પેનના બાર્સેલોના શહેરમાં પણ પ્રવાસન નીતિ અંગે પુનર્વિચાર કરવા માટેનું આયોજન કરાયું હતું, કેમ કે, અહીંના દરિયામાં ફરતી માછલી પકડનારી હોડીઓ પૈકીની 38 ટકાની જાળમાં નર્યો પ્લાસ્ટિકનો કચરો જ ભરાયો હતો.
વેનિસે ૨૦૨૩થી ‘પ્રવાસી વેરો’ ઊઘરાવવાનો આરંભ કર્યો છે.
પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધથી સામા છેડે પૂર્વ ગોળાર્ધમાં આવેલા જાપાનના ઈયોનના કેટલાક વિસ્તારમાં પ્રવાસીઓને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. તેનું મુખ્ય કારણ, અલબત્ત, પર્યાવરણ નહીં, પણ પ્રવાસીઓની ગેરવર્તણૂક છે.
વીસમી સદીમાં પ્રવાસ મુખ્યત્વે વૈભવ ગણાતો. તેના ઊત્તરાર્ધમાં સામાન્ય લોકો પ્રવાસ કરતા થયા ખરા, છતાં વિદેશપ્રવાસ મુખ્યત્વે ધનવાનો કરતા. હવે એ બાબતે ઘણી સમાનતા આવવા લાગી છે. એમાંય કોવિડ પછીનો સમયગાળો એવો બની રહ્યો છે કે લોકો એક જીવનમાં જેટલું જોવા-ફરવા મળે એટલું જોઈ લેવા ન માંગતા હોય!
પર્યાવરણ અને આત્યંતિક હવામાનની સમસ્યા આમે તીવ્રતર બની રહી છે. પ્રવાસનસ્થળો પ્રવાસીઓ પાસેથી કમાય છે, અને એમની સુવિધાઓ પાછળ ખર્ચતા પણ હશે. છતાં પ્રવાસીઓ થકી થતું પર્યાવરણને નુકસાન ભરપાઈ ન થઈ શકે એવું હોય છે. એમ ન હોય તો પ્રવાસીઓ માટે આવા આકરા નિયમો ઘડવાનો વિચાર આવી શકે ખરો?
પ્રવાસનસ્થળને થતા નુકસાનની સ્થિતિ આપણા દેશમાં પણ અપવાદરૂપ નથી. અતિ નાજુક પર્યાવરણપ્રણાલિ ધરાવતા હિમાલયમાં વિકાસના નામે જે ખુરદો બોલાવાઈ રહ્યો છે એનાં વિપરીત પરિણામ પણ ભોગવવાં મળી રહ્યાં છે. હિમાલય ઉપરાંત બીજાં અનેક સ્થળે આ સ્થિતિ હશે. પણ એ બાબતે ભાગ્યે જ કશી જાગૃતિ જોવા મળે છે. પર્યાવરણવાદીઓ કે છૂટાંછવાયાં પર્યાવરણ સંગઠનો સક્રિય છે ખરાં, પણ વિકાસના નગારખાનામાં એમની તતૂડીનો અવાજ કોણ સાંભળે?
આપણા દેશના જ નહીં, વિશ્વભરના પ્રવાસીઓની આદત સુધરે એ શક્ય જણાતું નથી, કેમ કે, તેઓ પોતાનાં નાણાં ખર્ચવા નીકળ્યા હોય છે, અને તેમને એનું પૂરેપૂરું વળતર જોઈતું હોય છે. નાણાંની સામે વળતર એટલે વધુ સુવિધાઓ. આ જ બાબત પ્રવાસનસ્થળ માટે વિપરીત પુરવાર થાય છે. પ્રવાસીઓ માટે પ્રવાસનું સ્થળ ‘પારકું’ અને કામચલાઉ હોવાથી નાગરિકધર્મ તેમને ભાગ્યે જ યાદ આવે છે.
આ સમસ્યાનો ઊકેલ નજીકના ભવિષ્યમાં જણાતો નથી. કડક કાયદાકાનૂન એક હદથી વધુ કારગર નીવડી શકતા નથી, કેમ કે, એનાથી પર્યાવરણને થયેલું નુકસાન ભરપાઈ થઈ શકતું નથી. સમજદાર નાગરિકો પોતાનો નાગરિકધર્મ સમજીને એનું અનુસરણ કરે તો ઠીક.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦ – ૦૬ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
1
નોંધ : સાંદર્ભિક વિડીયો યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધેલ છે
