ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

જિગીષા દિલીપ

આજે વાત કરીશું “ લવલી પાન હાઉસ” નવલકથાની. હા,આ ધ્રુવદાદાની જ નવલકથા છે. નામ સાંભળીને વિચારમાં પડી ગયા ને? તો આવો વાત કરીએ આ નવલકથાનાં પાત્રોની, તેમાં વર્ણવેલા લોહીનાં નહીં, પણ લાગણીથી તરબતર માનવસંબંધોની. ભારતનાં વિવિધ જાતિ-પાંતિનાં એકમેક સાથે હળીમળીને રહેતા માનવોની. ધ્રુવદાદાની કલમ હોય એટલે કંઈક નવું ,કંઈક અલગ અને વિશેષ તો હોય જ. આ નવલકથામાં તેમણે કુદરત, પ્રકૃતિ, દરિયો કે જંગલની વાત નથી કરી પણ વાત કરી છે રેલવે સ્ટેશન પર સામાન ઊંચકવાનું કામ કરનાર કુલી સ્ત્રીઓની, તેમના બાળકોની, લવલી પાન હાઉસ પર આવતા અનેક જુદા-જુદા માણસોની અને તેમના સંબંધોની ,તેમના પહેરવેશ, બોલી,માન્યતા અને વાતચીતની લાક્ષણિકતાઓની.

ટ્રેઈનની ‘છવ્વીસબાણુ’ વેગનમાંથી એક નાનું થોડા સમય પહેલાં જન્મેલું બાળક મળે છે. પરાણે વહાલું લાગે તેવું ગોરું, રૂપાળું બાળક જોઈ સ્ટેશન પર સામાન ઊંચકવાનું કામ કરતી કૂલી સ્ત્રીઓ, તેને પોલીસને કે અનાથાશ્રમમાં આપવાની ના પાડે છે. બધાં સાથે મળીને તેને ઉછેરવાની જવાબદારી લે છે. જન્મનો દાખલો લેવા, ચિઠ્ઠી ઉપાડી. જેનું નામ નીકળ્યું તે રેવા ચોપડે બની એની મા. રંગે ગોરો હોવાથી લાડકું નામ ગોરીયો અને ટ્રેનની યાત્રા કરતો મળ્યો એટલે ભણેલા સાહેબે નામ રાખ્યું યાત્રિક. “કોઈનો નહીં તે સૌનો” એમ ગોરીયો ટ્રેનની વેગનને રાત્રે પોતાની બેડરૂમ બનાવી, બધી મજૂર બહેનોનાં છોકરાઓ સાથે રમીને સૌનું આપેલ ખાઈને, સૌ માનો અને મિત્રોનો સ્વાર્થવિહીન પ્રેમ પામતો મોટો થાય છે.

કાળિયો, ટીકલો, વામન, સત્તુ, ભીખમંગી જેવા સ્ટેશન પર રખડતાં, કૂલી સ્ત્રીઓનાં છોકરાઓનાં જેવાં માત્ર નામ જ નહીં, પણ તેમાંના જ એક હોય તેમ તેમની અંદર જાણે હૂબહૂ ઉતરીને આલેખી હોય તેવી તેમની મનસ્થિતિ અને વિચારોનું અદ્ભુત વર્ણન ધ્રુવદાદાએ કર્યું છે. સાથેસાથે પાત્રોનાં વિચારો દ્વારા વ્યક્ત થયેલી દાદાની જીવનની ફિલસુફી, અગમ્ય વિચારધારાનાં છાંટણાં વાંચીને તો આપણે પણ વિચારોની હારમાળામાં ગરકાવ થઈ જઈએ.

“ કાળ કાગળિયાં ખાય, દેહનેય ખાય, મનને થોડો ખાય હકે?”

પ્રયત્નપૂર્વક પણ ન સમજાતું હોય તો એ કે માણસ પૃથ્વી પર રહે ત્યાં સુધી તેને સમયખંડોમાં વહેંચાયેલા રહેવું પડે તેવી રચના શા માટે થઈ છે! શા કાજે તેના જન્મ ,ઉછેર, ભણતર, ગણતર,સફળતા,નિષ્ફળતા,ઈચ્છા,સ્વપ્નો,આનંદ,પીડા અને સ્મૃતિ બધુંય સમય સાથે આવે કે જાય છે. સમયના બંધને ભેદી શકાય તેવી કોઈ વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી?”

આવા તો અનેક વિચારો નવલકથામાં આપણને પણ એ દિશામાં વિચારતાં કરી દે તેવા સરસ રીતે આલેખાયા છે.

સ્ટેશન પર વેગનને પોતાનું ઘર માની તેમાં આનંદ સાથે જીવતાં ગોરીયાનું શબ્દચિત્ર,તેમજ ગોરીયાને લવલી પાન હાઉસનાં માલિક મુસલમાન વલીભાઈ પોતાનાં ઘરમાં જ દીકરાની જેમ રાખે છે તે, તેમજ વલીભાઈની પત્ની ગોરીયાને શાકાહારી ભોજન જ ખવડાવી તેને અભડાવતી નથી જેવી અનેક ઉમદા વાતો દાદાએ નવલકથામાં સરસ રીતે રજૂ કરી છે. અને તે યાદ અપાવે ફિલ્મ ‘ધૂલ કા ફૂલ ‘ગીતની પંક્તિઓ.

“તું હિન્દુ બનેગા ,ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ હૈ ઇન્સાન બનેગા”
“માલિકને હર ઇન્સાન કો ઇન્સાન બનાયા,હમને ઉસે હિન્દુ યા મુસલમાન બનાયા”

તે ગરીબોની ઝૂંપડીમાં ડોકાતાં હૂબહૂ શબ્દચિત્રોથી યાદ આવી ગઈ, ઝોયા અખ્તરની ફિલ્મ “ગલી બોય” જેમાં આખેઆખી મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટીની જિંદગી દર્શાવી હતી.

‘લવલી પાન હાઉસ’ પર પિક્ચર બની શકે એટલાં સુંદર સંવાદો, વિચારો અને શબ્દચિત્રો આ નવલકથામાં છે. બધું જ સાવ કાલ્પનિક, છતાં સાવ સાચું, ગરીબાઈમાં પણ આદર્શ સંસ્કારિતાનું દર્શન, માનવમનની ઊંડાઈનું સ્વાભાવિક દર્શન તેમજ જાતિ-પાંતિ, ઘર્મ-વર્ણ વગરનાં સ્વાર્થવિહીન માનવ સંબંધોની, વાહ !પોકારી જાવ તેવી વાતોનું દર્શન. આ નવલકથામાં એક સાથે નાયક ગોરીયા- યાત્રિકની ફિલ્મમાં ફ્લેશબેક આવે એમ બે વાર્તા છે. એક વાત છે એની આગલી જિંદગીની અને બીજી એની પાછલી જિંદગીની.!!! આને માટે નવલકથા વાંચો તો જ સમજાય ……

આ સાથે દાદાની અલ્લાહ સાથેની વાતચીત કરતા હોય તેવી ગઝલ…. નવલકથામાં મુસ્લિમ વલીભાઈ મુશાયરામાં જાય અને ગોરીયો રાબિયા અને તેની અમ્મી સાથે મોટો થાય એટલે પણ દાદાની ગઝલ જ મૂકવાનું મન થાય !

“મૂકી છે જાત મેં આખી લે ચરાગી કબૂલ કર,
મને ખલાસ કર અને તું ખલ્લાસી કબૂલ કર.

કશાથી શોધ જાતની કે તમારી થતી નથી, 
જો તું હયાત હો તો મારી હયાતી કબૂલ કર.

અહીં એ કહી ગયા હતા તે કશું સાંભળ્યું નહીં,
અમે સતત કરી છે ફિર્કા -ખિલાફી કબૂલ કર.

ના તું સાકી મને એ સજ્જનોનાં ઘર બતાવ મા, 
ભરી દે જામ ને આ જાત શરાબી કબૂલ કર.

અહીં ને આ પળે તારા સમીપે જઈ ઊભો રહું,
જરા વિચાર મારી ઈશ્ક -મિજાજી કબૂલ કર.

અને શું હું જ તને રાન રાન શોધતો ફરું,
લે ચાલ ઘેર ને મારી ચપાટી કબૂલ કર.’

ચરાગી- (પીરની દરગાહ પર ફાતિયો કરાવતી વખતે દીવા તળે મુકાતી રોકડ.)


સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.