જવાહર બક્ષી
કંઈ નથી બનતું છતાં સબંધ સંકટમાં નથી,
પ્રેમ તો હોવાપણામાં છે, એ વધઘટમાં નથી.
પ્રેમ જેવું નામ છે એ તો છે એક વ્હેતી ભીનાશ,
જળ વિના કોઈ નદી તટ, પટ કે પનઘટમાં નથી.
તટ ઉપર રહીને તમાશો દેખનારા ! ભૂલ નહિ,
જો નદી છે તો જ તટ છે, પણ નદી તટમાં નથી.
રૂપ તારું કલ્પનાથી પણ વધુ આગળ ગયું,
સ્વપ્નમાં જોયો તો જે ચ્હેરો, એ ઘૂંઘટમાં નથી.
ઘટ ફૂટ્યો, માટીમાં માટી તો મળી, એક ફેર છે,
જે હતું આકાશ ઘટમાં, એ હવે ઘટમાં નથી.
:આસ્વાદઃ
રક્ષા શુક્લ
જવાહર બક્ષીની ગઝલોમાં તીવ્ર સંવેદનશીલતાનાં તત્ત્વો આધ્યાત્મિકતાની અનુભૂતિઓ પ્રગટ થતી રહી છે. કવિ એમની ગઝલયાત્રા દરમિયાન જે જે સંજોગોમાંથી પસાર થયા એનો પરિચય એમના સર્જનને મળ્યો છે. એમની રચનાઓમાં તગઝ્ઝુલ (પ્રેમ) અને તસવ્વુફ (સુફીવાદ) પણ છે. એમની રચનામાં પહેલી નજરે દેખાતો સ્થૂળ પ્રેમ અચાનક સૂક્ષ્મ પ્રેમ તરફ સરકી જાય છે.
કવિ અહીં પ્રેમની અનુભૂતિ અને તેની આજુબાજુની ઋજુ સંવેદનાઓને સરસ રીતે બલ્કે અદભુત રીતે રજૂ કરે છે. માણસને કોઈ ઘટનાની સંભાવના દેખાય તો એની ફળશ્રુતિમાં ભલે અનિશ્ચિતતા હોય પણ માણસ તે સ્વીકારવા કે નકારવાની તૈયારી સાથે તેનો સામનો કરવા સજ્જ હોય છે. પરંતુ અહીં કવિ કહે છે કે સંબંધ તો અડીખમ છે. જ્યાં છે, જ્યાં હતો ત્યાં સ્થિર, નિશ્ચલ…તેમાં નથી કોઈ સળવળાટ કે નથી કંઈ ફરકવું. કોઈ પણ સારી કે ખરાબ ઘટના બને એ માટે કોઈક નાની કે મોટી, સુખદ કે દુઃખદ હલચલ તો થવી જોઈએ ને પણ એવું કંઈ જ ના બનતા કવિ મન મનાવે છે કે ચલો, આ કંઈ પણ બનતું નથી; એ વાતને પોઝિટિવલી લઈએ. તેથી હકારાત્મક અભિગમથી કહી શકાય કે એટલે સંબંધ જરા પણ સંકટમાં નથી, તેમાં ચઢાવ કે ઉતારની કોઈ શક્યતા પણ નથી, સંબંધમાં એક સ્થિરતા છે. પ્રેમની હાજરી તો છે જ પણ કોઈ ઘટનાના અભાવથી તેમાં કોઈ વધઘટ પણ નથી એટલે સંકટમાં તો પ્રેમ છે જ નહીં. પ્રેમનું હોવું જ કવિ માટે અતિ મહત્વનું છે. અહીં પ્રશ્ન એ પણ થાય કે એવું તો નથી ને કે કંઈ ન બનવા પાછળ કવિની સંવેદના જ બુઠ્ઠી થઈ ગઈ છે ? પ્રેમ વધઘટમાં નહીં પણ ઘટઘટમાં હોય છે…
કવિને લાગે છે કે દુનિયામાં અનેક સંજ્ઞાવાચક નામો છે તેમાં ‘પ્રેમ’ પણ એક નામ છે પરંતુ એ એક વહેતી ભીનાશ જેવું છે જે ભીતરથી છદ્મ વેશે સૂકાપણું છે. એ ક્યારે, ક્યા સૂર્યના આગમનથી, જીવનની કઈ તાપણીમાં એ અસ્તિત્વ ગુમાવશે, ક્યારે નામશેષ થશે એ કહી ન શકાય એટલે જ કવિએ એને વહેતી ભીનાશ કહી છે. આ ભીનાશ ક્યારે બાષ્પ સ્વરૂપે વહેતી પકડે એ ભાવિના ગર્ભમાં છૂપાયેલું રહસ્ય માત્ર છે. માત્ર આવી ભીનાશની હયાતીથી કોઈ નદીનો તટ કે એનું ફલક કે પહોળાઈ જેવું હોતું નથી. અરે, એટલે કોઈ પનઘટ હોવાની સંભાવના તો ક્યાંથી હોય ! આમ કવિ અહીં પ્રેમના અભાવની વાતને સામે લાવે છે. નદી વગર તટનું કોઈ મૂલ્ય નથી એમ પ્રેમ વગર જીવનનું કોઈ મૂલ્ય નથી.
કવિ પ્રેમમાં નહીં પડનારાને, કિનારે રહી તમાશો જોનારા નિર્લેપ જણને કે જેણે પ્રેમરસને ચાખ્યો જ નથી તેને સાવચેત કરતા કહે છે કે, તું ભલે કિનારા પર રહીને તમાશાની મજા લેતો હોય પણ તું ભૂલતો નહીં કે જો નદી છે તો જ તટ છે, તટમાં જો નદી નથી તો તટનું અસ્તિત્વ જ ક્યાંથી હોય ? પ્રેમ એ તો અનુભવની વાત છે જીગર મુરાદાબાદી કહે છે કે.
યે ઇશ્ક નહીં આસાં ઇતના હી સમજ લિજે,
એક આગ કા દરિયા હૈ ઔર ડુબકે જાના હૈ.
પ્રેમમાં ડૂબેલો માણસ દિલ દરિયાના અગાધ ઊંડાણ તો માપી જ લે છે પરંતુ એની કલ્પનાની આકાશી ઉડાન પણ અકલ્પ્ય અને અપાર હોય છે. કલ્પનાથી વધુ આગળ ‘ને આગળ ‘ને આગળ એ પ્રિય વ્યક્તિ સપનામાં પણ પ્રેમીને વારંવાર દેખાય છે, ડોકિયા કરી જાય છે પણ કવિ જ્યારે પ્રિયજનનો ઘૂંઘટ ખોલે છે ત્યારે કંઈક છેતરાયાનો ભાવ અનુભવે છે. એ કહે છે કે આજ સુધી કલ્પેલો અને સ્વપ્નમાં જોયેલો ચહેરો એ નથી તો એ ચહેરો મૃગજળ માત્ર હતો ? એ ભ્રમ હતો ? કબીરનો ભાવક આશ્વસ્ત છે કે ઘૂંઘટ ઉઠતા જ ઈશ્વર મળશે પણ પ્રિયજનને પામવાની દુન્યવી ઇચ્છામાં ડૂબેલા આપણા નાયકને આપણે ખાતરી પણ કેમ આપવી કે ‘ઘૂંઘટ કા પટ ખોલ રે તોકો પીવ મિલેંગે’… પ્રાપ્તિ પહેલાનો રોમાંચ અદભુત હોય છે. પ્રાપ્તિ પછી તો રોમાંચ જતો રહે છે. પ્રતીક્ષાની પણ એક મજા છે. ‘શબરી’થી ‘શાંત ઝરુખે…’ સુધીની વાટ નીરખવાની વાત માણી-પ્રમાણી છે.
અસ્તિત્વના અનેક સ્તર પર જીવનનું રહસ્ય માણસ પામતો હોય છે. તેમાં રોમાંચ પણ હોય છે અને વિરક્તિ પણ. જવાહર બક્ષીએ નાનપણમાં ઘણાં મૃત્યુ જોયેલાં એટલે મૃત્યુ વિશેનું એક કૂતુહલ તેમનામાં ઉત્કટ બની ઉછરતું રહ્યું. એ કોઈ ગમતા પુસ્તકનું વળેલું પાનું હતું જેનું રહસ્ય વણઉકલ્યું હતું, જે બ્લેકહોલની માફક વારંવાર કવિને તેનામાં ખેંચી જતું હતું. કવિના સર્જનમાં તેની મૃત્યુ મીમાંસા આપણને ઠેર ઠેર જોવા મળે છે જે વાચકને પણ મૃત્યુનાં મોતી વિષયે હનુમાનજીનું વિસ્મય આપે છે. મૃત્યુનું રહસ્ય પામવા એ તેના સર્જનમાં દુરાગ્રહ સેવી વાણીના પ્રહાર કરવા, શરણાગતિ સ્વીકારવા, યાચક બનવા કે હઠયોગ આચરવા પણ સંકલ્પબદ્ધ છે.
છેલ્લા શેરમાં કવિ મૃત્યુ પાસે આવતા શરીર સંસાર તરફની સભાનતા છોડી દે છે તેની વાત કરતા કહે છે કે આ દેહરૂપી ઘટ ફૂટી ગયા પછી, પિંજરમાંથી હંસલો ઊડી ગયા પછી આ માટી તો માટીમાં મળી જાય છે. ‘મીટ્ટી ઓઢાવન, મીટ્ટી બીછાવન, મીટ્ટી સે મિલ જાના હોગા’ કહેતા કબીરજી ફેરી આંખ સામે આવે. આ ઘટ જ્યાં સુધી આખો હતો ત્યાં સુધી એક આકાશ પણ કોઈ ચોક્કસ આકારમાં ઘટની ભીતર, દેહની અંદર સમાયેલું હતું. અહી કવિ નિર્દેશ કરે છે કે આપણો દેહ પંચમહાભૂતોનો બનેલો છે તેમાનું એક તત્ત્વ આકાશ પણ છે જે ઘટ તૂટતા પંચતત્વમાં જ વિલીન છે. આકાશ તો આકાશ છે. પણ તે બંનેમાં તફાવત છે. પહેલા જે આકાશ હતું એ ધબકતા દેહનો એક અનિવાર્ય ભાગ હતું..પણ પછીનું આકાશ આકારવિહીન છે. એ ઘટનો ભાગ પણ નથી.
પ્રેમની વાતથી પ્રારંભ કરેલો અને પ્રેમની વાતથી જ પૂર્ણાહુતિ કરીએ. આમ પણ જગતની દરેક બાબતનો આરંભ અને અંત પ્રેમ જ છે. પ્રેમ જ પ્રશ્ન છે અને પ્રેમ જ ઉત્તર. પ્રેમની પૂર્વશરત અને પૂર્ણશરત સદા સમર્પણ છે. પ્રેમમાં કેલ્ક્યુલેટર કશે કામ નહીં આવે…

સરસ કાવ્ય અને રસદર્શન.
સરયૂ પરીખ.
LikeLike