મારી લેખન યાત્રા
ઓપરા વિન્ફ્રીના કહેવા મુજબ ‘રોજ સવારે ઊઠીને તમને જો લખવાનો વિચાર આવતો હોય તો સમજો કે તમે લેખક છો’ લખવાની પ્રબળ ઈચ્છા રોજ સવારે મારાં મનમાં ઊઠે અને મને સર્જક થવા પ્રેરે. રોજ એમ થાય કે જોબ પર જવાનું ન હોત તો લખવાં બેસી જાત. જોબ પરથી આવીને રસોઈ, બાળકોના હોમવર્ક અને ઓવરટાઈમ કરીને આવેલા પતિની સંભાળમાંથી પરવારૂં ત્યાં આકાશમાં તારા દેખાવા માંડે અને સર્જક થવા મથતું મારૂં હ્રદય પ્રસવની પીડા સાથે ડાઈનીંગ ટેબલ પર કાગળ પેન લઈને બેસે. કોઈક એકાદ કૃતિ ક્યારેક અવતરે અને ક્યારેક દિવસ દરમ્યાન હ્રદયના ગર્ભમાં જ મરણને શરણ થઈ ચૂકી હોય. પીડાની શાહીથી ચિત્કારીને મદદ માટે પોકાર કરૂં. ડાયરીમાં દટાયેલો એવો એક પોકાર હજુ ઊંહકારા કરે છે. આ રહ્યો એ પોકારઃ
ગર્ભમાં જ મૃત્યુને શરણ થયેલી મારી કવિતાના
ખેંચી ખેંચીને બહાર કાઢેલા
પ્રાણ વિનાના શબ્દો,
કબ્રસ્તાન જેવી મારી નોટબુકના પાનામાં અહીં તહીં
દટાયેલા પડ્યા છે.
હે મિત્ર કવિજનો, મને કહેશો કે
ગર્ભપાત પછીની પીડા તમે પણ અનુભવી છે?
અથવા તો કહો કે ચાહકોને પ્રસન્ન કરી મૂકતી
તમારી આ ધબકતી કવિતાઓને તમે
ક્યા ક્યા ઓસડિયાં પાયાં છે?
આવા ઓસડિયાં આપવા તૈયાર હોય તેવા કવિ મિત્રોમાં બે નામ તરત યાદ આવે નીલમ દોશી અને ચંદ્રકાંત શાહ. બીજા ઘણાં સહયાત્રીઓને મળી છું પણ આ બંનેએ સક્રિય રસ લઈ મારી કૃતિઓના અવતરણમાં ફાળો આપ્યો છે. કલમ હાથમાં લેવાની પ્રેરણા નીલમની મૈત્રી થકી થઈ. કોલેજકાળ દરમ્યાન અમે હોસ્ટેલમિત્રો. લગભગ રોજ રાત્રે એને લખતી જોઈને મને એનું લખાણ વાંચવાનું મન થાય. ક્યારેક તે વંચાવે પણ ખરી! કોલેજની વાર્તા સ્પર્ધામાં નીલમ મને આગ્રહ કરીને લઈ જાય. વાંચનની તીવ્ર ભૂખ નાનપણથી. ઘરમાં બાલસંદેશ કે ફૂલવાડી જેવું બાળ સાહિત્ય અઠવાડિયે એકવાર વાંચવા મળે. રોજના છાપાથી ભૂખ સંતોષાય નહીં. ગામની વચ્ચે આવેલી લાયબ્રેરીમાં બાળકોથી જવાય નહીં. બાપુજી માટે આવતા સામાયિકો વાંચુ અને મિત્રો પાસેથી પણ વાંચન સામગ્રી શોધ્યા કરૂં. ગુજરાતી મિડીયમની હાઈસ્કૂલમાંથી ઈંગ્લીશ મિડિયમની સાયંસ કોલેજમાં ગઈ તેથી ભાષા અઘરી થઈ. એચ. જી વેલ્સની વાર્તાઓ અભ્યાસક્રમનો ભાગ હતી. તે વાંચવી ગમે પણ બાયોલોજી અને કેમેસ્ટ્રી અંગ્રેજીમાં અઘરાં પડે તેથી તેના અભ્યાસમાં સમય વધારે આપવો પડે. આમ કોલેજ દરમ્યાન ગુજરાતી સાહિત્ય સાથે મર્યાદિત સંપર્ક રહ્યો.
વેકેશનમાં મારી વાંચનપ્રવૃતિમાં મારી માતા રસ લેતી અને કવિતાઓ કે ઐતિહાસિક વાર્તાઓ તેને હું ક્યારેક વાંચી સંભળાવતી. તે ધ્યાન દઈ રસપાન કરતી અને મંતવ્ય પણ આપતી. આમ છતાં બૂકવોર્મની જેમ આખો દિવસ મને ચોપડીમાં ડૂબેલી જોઈને બાને મારાં સાસરવાસના ભવિષ્યની ચિંતા થાય. ગ્રેજ્યૂએટ થઈ તે પહેલાં મારાં લગ્ન થઈ ગયાં હતાં. ‘હશે’ ને બદલે ‘હહે’ બોલતા પરિવારમાં મારી ભાષા શુદ્ધિ ચાગલાઈ ગણાય. અંગ્રેજી શબ્દ ભૂલથી ય હોઠેથી સ્ફૂટે તો અભિમાન ગણાય. “છંદે શું ચડી છે?” એવું મને કહેવામાં ન આવ્યું હોય તો પણ એટલી બધીવાર કાને પડ્યું છે કે છંદ કદી શીખવાનું મન જ ન થાય. આવા વાતાવરણમાં સમયની પાબંદી છતાં મારા પતિ મારી આ યાત્રાને આગળ વધારવામાં સહાયરૂપ થયા. આ અરસામાં મારે ફાધર વાલેસ સાથે નિયમિત પત્રવ્યવહાર અમેરીકા આવી ત્યાં સુધી ચાલુ રહ્યો. આ દરમ્યાન વર્ષમા એકાદ બે વાર લખીને ‘ફૂલછાબ’ ‘સ્ત્રી’ કે ક્યાંય મોકલ્યું હોય તો સ્વીકાર થાય તે કારણે ઉત્સાહ જળવાઈ રહ્યો.
અમેરીકા આવ્યા બાદ ટુંક સમયમાં તારક મહેતાનો કાર્યક્ર્મ મારે આંગણે હું ગોઠવી શકી. શ્રી તારક મહેતા માટે ત્યારે મેં એક કાવ્ય લખ્યું હતું જેની પહેલી પંકતિ ‘રૂદનને રડાવે એક તારક રૂદનને રડાવે’ છે. પીડાના આંસુને હર્ષના આંસુમાં એક સાચો કલાકાર જ ફેરવી શકે. આ સાચા કલાકારે મને એક સલાહ આપી હતી કે મારે વધુ નહીં તો એક કલાક રોજ રાત્રે લખવાની ટેવ પાડવી. એ કેટલું અઘરૂં છે એનો અનુભવ એક પડકાર બની ગયો. લખવાનું શરૂ કરૂં પછી અટકવાનું અઘરૂં થઈ જાય. સમયનું ભાન ભૂલીને હું કોઈ બીજા જ વિશ્વમાં વિહરતી ઘણે દૂર નીકળી જાઉં. બીજે દિવસે સવારે ઊઠવાનું મોડું થઈ જાય. ડોમીનો ઈફેક્ટમાં બાળકોની સ્કૂલ, મારો જોબ પર જવા આવવાનો સમય અને છેલ્લે બાળકોના સૂવાના સમય સુધી આખો દિવસ તણાવું પડે. આગલી રાતનો ઉજાગરો અને દિવસ આખાના થાકને અંતે સરસ્વતિ દેવીને બે હાથ જોડીને વંદન કરવા જેટલી જ શક્તિ બચી હોય. પતિના રોમેંટિક મૂડ સામે તો પડખું ફરી શકાય પણ બીજા દિવસની સવારના એલાર્મને અવગણી શકાય નહીં. આમ જીવનમાં લખવાનો નિત્યક્રમ થઈ શક્યો નહીં પણ કવિ સંમેલનોમાં આદિલ મંસુરી અને પન્ના નાયક જેવા કલાકારોને મળીને લખતાં રહેવાનું પ્રોત્સાહન મળ્યા કરે.
વડીલ કહી શકાય એવા શ્રી કિશોરભાઈ દેસાઈ સાથે ‘ગુર્જરી’ ડાયજેસ્ટથી હું જોડાયેલી રહી શકી તેને મારૂં સદભાગ્ય ગણું છું. નવોદિતોને પ્રોત્સાહન પુરૂં પાડવાના શુભ આશયથી એમણે હંમેશા મારી કૃતિઓને સ્વીકારી છે. એ થકી વાંચકોના પ્રતિભાવો પણ પ્રોત્સાહિત કરતાં રહ્યા. જોબ પરથી ઘરે જતાં ડ્રાઈવ કરતી વખતે ક્યારેક કારને રસ્તા પરથી એકબાજુ ઊભી રાખીને કવિતા લખી હોય. આવી એક કવિતા ‘ગુર્જરી’ ડાયજેસ્ટમાં વાંચીને પન્ના નાયકને ત્યાંથી કવિ શ્રી સુરેશ દલાલનો ફોન આવ્યો ત્યારે એવોર્ડ મળ્યા જેટલો આનંદ થયો હતો. ગુર્જરીની ૨૫ વર્ષની આનંદયાત્રાની પ્રસ્તાવનામાં શ્રી મધુ રાય જેવા સર્જક મારાં નામનો ઉલ્લેખ નવોદિત તરીકે કરે ત્યારે થાય કે આગળ વધી શકાશે.
કલાચાહનાને કારણે બોસ્ટનમાં શ્રી મનુભાઈ પંચોળી, રમેશ પારેખ, અનિલ જોશી અને રજનીકુમાર પંડ્યા જેવી ઉત્તમ કક્ષાના કલાકારો સાથે ઘરઆંગણે ગોષ્ઠી થઈ શકી. ગુણવંત શાહ જેવા ચિંતક સાથે પણ મુલાકાત થઈ. આવા સત્સંગને કારણે કલમ થોડી થોડી ચાલતી રહી પણ વધુ રડતી રહી. બોસ્ટન છોડ્યા પછી થોડા વર્ષો આ પ્રવૃતિ સાવ બંધ થઈ ગઈ હતી. દેવી સરસ્વતિને કરેલી પ્રાર્થના ફળી અને નીલમ સાથેની મૈત્રીનો દોર વર્ષો બાદ ફરી સંધાયો ત્યારે નીલમે ફરી કલમ હાથમાં આપી. નીલમ અમેરીકા આવે ત્યારે અમે અમેરીકાનું સૌંદર્ય જોવા સાથે નીકળી પડીએ. ઘરે આવીને નીલમ પ્રવાસ વર્ણન લખવા બેસે અને મને ય બેસાડે! એણે બ્લોગ પણ ચાલુ કરી આપ્યો. કોમપ્યૂટરમાં ગુજરાતી ફોંટ ઈંસ્ટોલ કરી આપ્યા પછી હું થોડું વધારે લખતી થઈ. એ પછી કોઈકવાર હરિફાઈમાં ભાગ લઉં અને કૃતિ ઈનામને પાત્ર હોય ત્યારે યાત્રા ચાલુ રાખવાનો ઉત્સાહ જળવાઈ રહે.
૨૦૧૧માં મુંબઈ ગઈ ત્યારે નૂતનબેન જાની સાથેની ગોષ્ઠીએ ડાયાસ્પોરા અને નારી વિષે લખવામાં રસ જાગ્યો. જે હજુ ય સુષુપ્ત અવસ્થામાં જળવાઈ રહ્યો છે. લંડનના વિપુલભાઈ કલ્યાણીનું ‘ઓપીનિયન’ કલ્યાણકારી નીવડ્યું. થોડો સમય ‘વેબગુર્જરી’ માટે શ્રી જુગલકિશોરભાઈ વ્યાસ સાથે કામ કરવાથી ભાષા વિષે હું વધુ સજાગ થઈ. વિશ્વસાહિત્યમાં રસ ધરાવતી ભાષાપ્રેમી મિત્ર મેરીયન મળ્યા પછી રસ વધતો રહ્યો. ભલે કાચબાની ગતિએ પણ આ યાત્રા ચાલુ રહી શકી છે તે જ મારાં માટે આનંદની વાત છે. વાંચનની ભૂખ અને લેખન માટેનો તલસાટ મને જીવંત રાખે છે. શબ્દરૂપે બ્રહ્મ મારાં શ્વાસમાં ઓગળી શક્તિનો સ્ત્રોત બની જાય છે.
કુટુંબધર્મ અને હ્રદયમંદિર
તમે ક્યા ધર્મમાં માનો છો? અમેરીકામાં આ પ્રશ્ન મને ઘણીવાર પૂછવામાં આવ્યો છે. હું બધા ધર્મોમાં માનું છું અથવા તો હું માનવધર્મમાં માનું છું એવા ટૂંકા જવાબથી પૂછનારને સંતોષ ન થાય. અંધશ્રદ્ધાના પ્રબળ વિરોધ વચ્ચે હું ઊછરી છુ. માતાજીના પાંચ મઢોને ટ્રસ્ટમાં ફેરવવા માટે મારાં પિતાજીએ ભૂવાઓ સામે કોર્ટમાં કેસ કર્યો હતો. પૂંજના નામે ભક્તિ અર્થે ધૂપેડો ઊઘરાવવાની પ્રથા બંધ કરવાની શરૂઆત મારાં પિતાએ કરી. એ માટે તેઓ નાતબહાર પણ મૂકાયા હતા. ઘણા વિરોધ વંટોળનો સામનો એમણે કર્યો હતો. અભણ ગણાતા અમારાં રબારી સમાજમાં જાગૃતિ અને શિક્ષણ માટે તેઓ પ્રેરણાસ્રોત બની રહ્યા. મારી માતા રોજ સવારે ઉગતા સૂર્યને નમસ્કાર કરી શક્તિમંત્રો ઉચ્ચારતી. વિશાળ જગ્યામાં રહેતા પંદરથી વધારે સભ્યોવાળા અમારાં વિશાળ કુંટુંબ માટે મારી માતા પ્રેમનો સ્ત્રોત હતી. બા સહુને સાંભળે પણ ભાગ્યે જ કોઈને કંઈ કહે. કુંટુંબધર્મની એની ભક્તિમાં ત્યાગ અને સહાનુભૂતિ મુખ્ય હતાં. માતા બન્યા પછી હું એના પ્રેમની પરિભાષા સમજતી થઈ. પરાણે છોડવું પડે તે અત્યાચાર ગણાય પણ પ્રેમથી છોડવું તે ત્યાગ છે. શીતળ સ્વભાવની મારી સંયમી માતા પાસેથી મનને અડગ રાખતા હું શીખી હતી. સ્વચ્છતા માટેના એના નિયમોનું કડક પાલન સૌ માટે ફરજીયાત હતું.
બાલ્યકાળમાં રોપાયેલી મારાં હ્રદયની એક ડાળની અણધારી વિકાસ યાત્રા એટલે મારૂં લગ્નજીવન.
દસ વર્ષની ઊંમરે પ્રતાપ સાથે મારી સગાઈ થઈ. એ સમયે હું ખાનગી સ્કૂલના પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. તે દિવસે સ્કૂલે મોડી પડવાનું કારણ શિક્ષકો પાસે પહોંચી ગયું હતું. મને સ્કૂલેથી ખબર પડી કે મારી સગાઈ થઈ છે. પ્રતાપની બહેનની સગાઈ મારાં ભાઈ સાથે થઈ હતી. એ રીતે સામસામે સગપણ થયું હતું. આ રીતે સાટાપાટામાં દીકરીની લેવડદેવડ અમારી જ્ઞાતિમાં સામાન્ય બાબત હતી. અમે એક જ મહોલ્લામાં રહેતાં હતાં પણ જ્ઞાતિ રિવાજ મુજબ લગ્ન પહેલાં મળવાનો વર કન્યા પર પ્રતિબંધ હતો. કૌટુંબિક મેળાવડાઓમાં એકબીજા સામે જોવાની ય શરમ રાખવી પડતી.
૧૯ વર્ષની ઊંમરે મારાં લગ્ન થયા. પ્રતાપને ભણવામાં જરા યે રસ નહીં. દાદાના વાડી ખેતર હતાં તેમાં તેને વધારે રસ. અમારાં રસ રુચિમાં કોઈ પણ પ્રકારનું સામ્ય નહીં. વિચારોનો મેળ પણ અઘરો હતો. લગ્ન પહેલાં એકબીજા વિષે ઘણી વાતો સાંભળી હતી. તે થકી એકબીજા પાસેથી સુખની કોઈ આશા કે અપેક્ષા ન હતા પણ પરસ્પરને દુઃખી ન કરવાની શુદ્ધ ભાવના હતી જેને પ્રેમનું નામ આપી અમે સંસાર શરૂ કર્યો. ‘પતિ એ જ પરમેશ્વર’ નો સંસ્કૃતિ વારસો મને મારી બા દ્વારા મળ્યો અને “સૌરાષ્ટ્રની રસધાર” વાંચીને દ્રઢ થયો. લેખક શ્રી ઝવેરચંદ મેઘાણીના શોર્યગીતો રગેરગમાં દોડે. ‘ચૌદ વરસની ચારણ કન્યા’ માં મને મારૂં પ્રતિંબિંબ દેખાય. એક આડવાત એ કે મારાં આ પ્રિય કવિની દૌહિત્રી પલ્લવી સાથે પરદેશમાં મારી મિત્રતા ગાઢ થઈ તે વિસ્મયકારક બાબત છે. અમારાં બંનેના વિચારોમાં ગ્રામ્ય અને શહેરી સંસ્કૃતિનો ફેર તેથી મતભેદો થતા રહે પણ મારી વજ્રતા અને એની મૃદુતા અકબંધ રહે. જંગલમાં ખીલેલા છોડ સાથે બગીચાના મુલાયમ છોડ જેવી અમારી મૈત્રી મેં બોસ્ટન છોડ્યા પછી પણ વિકસતી રહી.
લગ્નજીવનની શરૂઆત ખુબ અઘરી હતી. મારાં સાસુ વર્ષો પહેલાં મૃત્યું પામ્યાં હતાં. ત્રણ કાકી સાસુઓ સાથેના પંદર સભ્યોના સંયુક્ત કુંટુબમાં પ્રતાપને કોઈ ગણે નહીં. એની બહેન અને મારાં ભાઈના લગ્નજીવનમાં તિરાડને કારણે સાસરીમાં મારે ઘણું સહન કરવું પડશે તે કલ્પના ન હતી. બધી બાજુથી થતી અવગણનાનું દુઃખ અમેરીકા આવવાનું મુખ્ય કારણ બન્યું. ૧૯૭૬માં ગ્રેજ્યૂએટ થઈ ત્યારે મને અમેરીકા આવવાની તક હતી તે તક ગુમાવી તેનો ક્યારેક અફસોસ થાય. ચૌદ વરસનો સાસરવાસ વેઠયા પછી ફરી તક મળી. જે મેં વિના વિલંબે ઝડપી લીધી.
મને હતું કે વાંચન લેખનનો શોખ મારે લગ્ન પછી ત્યજી દેવો પડશે. એને બદલે પછી પણ મારૂં ભણવાનું પણ ચાલુ રહ્યું. મારી પ્રગતિમાં પ્રતાપે હંમેશા સાથ આપ્યો જેની મને આશા ન હતી. ‘ત્રણ દીકરીઓ અને હું’ આટલી એની સિમિત દુનિયામાં એણે દિલ રેડીને અમને સૌને પાંગરવા દીધા. પ્રતાપના કંઠનું માધુર્ય અને સંગીતના શોખ થકી જીવન સૂરીલું બન્યું. અમારાં દાંપત્યજીવનનો એક પ્રસંગ ‘પિયર્સ’ ગુર્જરી ડાયજેસ્ટમાં શ્રી કિશોરભાઈ દેસાઈએ ડાયાસ્પોરીક કૃતિ તરીકે નોંધ લઈ પ્રકાશિત કર્યો છે. તે અહીં મૂક્યા વગર આ દાંપત્યયાત્રા અધૂરી ગણાશે.
હોસ્ટેલમાં રહી હું ભણતી હતી ત્યારે પિયર્સ મારો પ્રિય સાબુ હતો. માબાપે આપેલા એલાવન્સમાંથી મોંઘો સાબુ વાપરનારા ગણ્યાગાંઠ્યાઓમાંની હું એક હતી. સ્વાભાવિક રીતે જ લગ્ન પછી આણાની બેગમાં નાની મોટી વસ્તુઓની સાથે ડઝનબંધ પિયર્સ પણ મૂકાયો. હજુ તો વિદાય વખતના વચનો..”દીકરી, બધાને અનુકૂળ થઈ રહેજે” ના પડઘા શમ્યા ન હતા ત્યાં pears(સાબુ)નો stock ખલાસ! સહજ રીતે જ હું બીજો લઈ આવી. આણાની બેગમાં તો પિયરનો ખરીદેલો હતો તેથી કોઈને નહતો ખટક્યો પરંતુ સાસરાના પંદર માણસના સંયુક્ત કુંટુંબમાં મોંઘો સાબુ ખટકવાનો તેની જાણ મને ન હતી પણ મારાં પતિને હતી. સાબુ જોતાં જ તેના ચહેરાના હાવભાવ બદલી ગયા તે મેં જોયું. મેં “કેમ?” પૂછ્યું તો માંડ એટલું બોલ્યા કે “આપણને આ નહીં પોસાય” મેં તરત જ સહજતાંથી કહ્યું કે હું પાછો આપી આવીશ. મને કહે, ‘રહેવા દે! હું બજારમાં જઈશ એટલે પાછો આપી આવીશ, ક્યાંથી લીધો?’ ‘મંગલમ’માંથી મેં જવાબ આપ્યો.
નવજીવનના નાના મોટા બીજા ફેરફારોમાં આ એક નજીવો ફેરફાર તો વિસરાઈ પણ ગયો. આમ પણ પિયર છૂટતાં ઘણું બધું છૂટ્યું તેમાં પિયર્સ સાબુની તો શી વિસાત? પછી તો ઘણા સંઘર્ષો પછી જ્યારે આછરેલા નીર જેવી સ્થિર પ્રવાહિતા જિંદગીમાં આવી ત્યારે તો લગ્નની સિલ્વર જ્યુબિલીની મુબારકબાદી લઈને દિકરી-જમાઈ આંગણે મહેમાન બનીને ઊભાં હતાં અને અમને અમેરિકાની ધરતી પર આવીને રોપાયાને પણ દાયકો થઈ ગયો હતો. teenageના ગમા-અણગમા તો બહુ દૂરનો ભૂતકાળ થઈ ગયા હતાં. Pears નામનો કોઈ સાબુ હું teenager હતી ત્યારે વાપરતી તે ય વિસરી ગયેલી ત્યાં અચાનક એક દિવસ મારાં પતિએ એક ડઝન સાબુ લાવીને kitchen island પર મૂક્યો. સાબુ જ નહીં જાણે એક વાત મૂકી. હું રોટલી વણતી હતી. મારી એ તરફ પીઠ હતી. મને કહે, ‘ન્હાવાનો સાબુ લાવ્યો છું જો તો !’ મેં જરા એ તરફ જોઈને કહ્યું ‘ભલે હું પછી ઠેકાણે મૂકી દઈશ’ કહી ફરી રોટલી વણવા લાગી. વળી કહે, ‘તેં જોયું નહીં ક્યો સાબુ છે?’ મેં કહ્યું, ‘ હા, pears’, મને કાંઈ નોંધ લેવા જેવું લાગ્યું નહીં. બે દીકરીઓ teenageમાંથી પસાર થઈ ગઈ હતી. આનાથી મોંઘા સાબુઓ સ્થાન મેળવી સ્થાનભ્રષ્ટ પણ થયા હતાં અને હજુ ત્રીજી નાની teenager દીકરીની પોતાની આગવી પસંદના સાબુ-શેમ્પૂ અને સૌંદર્ય પ્રસાધનોની બ્રાન્ડ-નેઈમ આવ-જા વચ્ચે પિયર્સ સાબુ કંઈ ધ્યાન ખેંચે એવી મહત્તા નહોતો ધરાવતો. મહત્વની વાત મારાં પતિની આંખમાં હતી કોઈની આંચકી લીધેલી વસ્તુ પસ્તાવા સાથે પાછી આપતાં ગુનેગારનો એ ભાવ હતો. એ કહેવા લાગ્યા, ‘અમેરીકા આવ્યા પછી pears પહેલીવાર ઓચિંતો નજરે ચઢ્યો અને મનમાં રહેલો ખટકો બહાર આવ્યો. ‘મંગલમ’માં મારે સાબુ પાછો આપવા જવું પડ્યું હતું તેનો મને અફસોસ હતો. India હતાં ત્યાં સુધી તો મારો આ ખટકો હું દૂર કરી શકું તેમ ન હતો એક સાબુ જેવી મામૂલી વસ્તુમાં પણ તારી પસંદ હું કબૂલ નથી રાખી શક્યો. આજ સ્ટોરમાં આ pears સાબુ જોતાં જ મંગલમ યાદ આવ્યુ. ફક્ત સાબુ જ નહીં તારે જે ઘણું બધું છોડવું પડ્યું તે સમય અને તે સમયની મારી લાચારી બધું એક સામટું યાદ આવ્યું અને ઉદાસ થઈ જવાયું. હું કંઈ બોલી શકી નહીં. હું જાણું છું કે મેં કંઈ વિશેષ નથી કર્યું પરણીને સાસરે જતી કે મુગ્ધાવસ્થામાંથી યુવાનીની જવાબદારી ભૂમિકા નિભાવતી સ્ત્રી ફક્ત પિયરનું આંગણું જ નથી છોડતી બીજો ઘણો ત્યાગ કરીને પોતાના પરિવારને કિલ્લોલતો રાખવા મથતી હોય છે.
મારી બાએ પાળેલો કુંટુંબધર્મ મેં પણ અપનાવ્યો હતો. પતિમાં પરમેશ્વર જોવાનો ભાવ વિસ્તરીને દરેકમાં પરમનો અંશ જોવાની દ્રષ્ટિને શુદ્ધ કરતો રહ્યો. ભક્તિ અને પ્રેમભાવ એકબીજાના પર્યાય બનીને મારાં હ્રદયની હિમશીલાઓ ઓગાળીને વહેતા ઝરણાં થયાં ૩ સપ્ટેંબર ૧૯૭૭માં. આ દિવસે એકસાથે બે દીકરીઓએ મારાંમાંથી જન્મ લઈને મને ભરપૂર સ્નેહથી નવડાવી.
‘શ્રાવણ માસને અનરાધાર મેહ, પીડા એવી ઉપડી
બે બાળકીને જન્મ આપીને થયુ હાશ હું છૂટી,
છૂટી શું બંધાણી એવી આજ સુધી ન છૂટી
બબ્બે નહીં ચાર ચાર હાથોએ વ્હાલની લ્હાણી લૂંટી’
૧૯૮૫માં ત્રીજી પુત્રીનો જન્મ થયો. આ ત્રણ દેવીઓ પ્રત્યેનો પ્રેમ મને એક માતાને પરમ તત્ત્વ ની નજીક રાખે છે. ભક્તિ માટે મંદિરે જવાની જરૂર હજી સુધી મને જણાઈ નથી.
ધાર્મિક માન્યતાઓ જ્યારે બાળકના મનને કલુષિત કરે છે ત્યારે એના હૈયાનું પરમ તત્ત્વ રડી ઊઠે છે. આવો એક કિસ્સો અદિતિ હાઈસ્કૂલમાં હતી ત્યારે બન્યો.
એલિઝાબેથ અને અદિતિની મૈત્રી દૂધમાં સાકર જેવી! એલિઝાબેથ અમારે ત્યાં અવારનવાર આવે, ક્યારેક રાત પણ રોકાઈ જાય. જોતાં જ વ્હાલ ઉપજે તેવી નિર્દોષ અને સોહામણી એલિઝાબેથે અમારાં પરિવારના બધાના દિલ જીતી લીધાં હતાં. એકવાર સ્કૂલેથી રડમસ ચહેરે આવીને અદિતિ કહે, “મોમ, એલિઝાબેથ આજે સ્કૂલે મને જોતાંવેંત રડી પડી. એ કહેતી હતી કે હું ક્રિશ્ચિયન નથી તેથી નર્કમાં જઈશ અને સ્વર્ગમાં એને મારાં વગર નહીં ગમે તેનું એને દુઃખ થાય છે.” આટલું બોલતા અદિતિ ગળગળી થઈ ગઈ.
મર્યા પછી છૂટા પડ્યાના દુઃખ સાથે નર્કમાં જવાની કલ્પના તેર વર્ષની આ બાળાઓ માટે અસહ્ય થઈ પડી હતી. મૃત્યુપર્યંતની મૈત્રીભાવનામાં તિરાડ પડશે કે શું? એવું વિચારીને બંને દુઃખી હતી.
એવું બની શકે કે આ વાક્ય એ સમયે વિરોધીઓ માટે બોલાયું હોય. એ સ્થળે ત્યારે વિધર્મીઓનું અસ્તિત્વ દૂરની વાત હોઈ શકે. જે હોય તે પણ…ધાર્મિક માન્યતાઓનો
સંકુચિત અર્થ યુગો સુધી માનવજાતને પીડ્યા કરે છે.
“મોમ, આપણે નર્કમાં જઈશું એ વાત સાચી છે?” અદિતિનો પ્રશ્ન મને હચમચાવી ગયો. દરેક ધર્મમાં દશાવેલો માનવધર્મ સૌથી શ્રેષ્ઠ છે એ વિચારબીજ ત્યારે હું એના જવાબરૂપે રોપી શકી.
એક બીજો પ્રસંગ પણ મનમાં ઝબકે છે. સ્ટુડન્ટ કાઉન્સીલમાં વાઈસ પ્રેસીડેંટ થઈ તે વર્ષે અદિતિ પંદર વર્ષની હતી. તેની મિત્ર લોરેન પ્રેસીડેંટ હતી. બંને એકબીજાને ઘરે કલાકો સુધી ઈતર પ્રવૃતિની તૈયારીઓ કરે. વારંવાર મળીએ એટલે લોરેનની મા પ્રસેલા સાથે મારે પણ મૈત્રી થઈ. પ્રસેલા અને લોરેન સાથે અદિતિને ક્યાંય જવું હોય તો મારી કદી ના ન હોય. અદિતિએ એક દીવસ મને પૂછયું, “તું ઈંડીયન મિત્રોનો વિશ્વાસ કરે છે એટલો અમેરીકન મિત્રોનો કેમ નથી કરતી?” આ સાંભળી મને નવાઈ લાગી એટલે એવું એને કેમ લાગ્યું તે મેં પૂછયું. જવાબમાં કહે, “તું લોરેનને ત્યાં સ્વીપઓવરની ના પાડે પણ અંજલિને ત્યાં જવા દે છે એવું કેમ?” આ અઘરા પ્રશ્નનો જવાબ આપતા મેં કહ્યું હતું કે ભારતીય સમાજ મને પરિચિત લાગે જ્યારે અમેરીકન સમાજ મારાં માટે અપરિચિત છે તેથી તે લોરેનને ત્યાં રાત રહે તો હું રાતભર સૂઈ ન શકું એટલી ચિંતા મને રહે. અદિતિ આ સમજી શકી તે મારૂં સદભાગ્ય!
પ્રોમની નાઈટ પાર્ટીમાં જવાની રજા આપતી વખતે મારી ખરી કસોટી થઈ. એકતા અવનિએ તો સમજીને મને પૂછ્યું જ નહોતું. અદિતિ જે છોકરા સાથે જવાની રજા માંગતી હતી તેના ભારતીય માબાપને હું ઓળખતી હતી. મને એમના માટે ઊંચો અભિપ્રાય હતો તેથી અદિતિને હતું કે હું ના નહીં પાડું. મેં ના પાડી એટલે અદિતિ કહે, “કેમ? તને મારો વિશ્વાસ નથી?” અદિતિ મને સમજાવવા માટે દલીલ કરવા માંડી. અવનિ વચ્ચે પડીને અદિતિને કહે, “મમ્મીને બીક છે કે તું પ્રેમમાં પડી જઈશ. પ્રેમ પહેલાં લગ્ન અને લગ્ન પહેલાં ભણવાનું એવું મમ્મી માને છે.” અદિતિ ખડખડાટ હસવા માંડી. “રીઅલી મોમ?” એકતાને ‘મા’ સંબોધન ગમે, અવનિને ‘મમ્મી’ કહેવાની ટેવ અને અદિતિ મને ‘મોમ’ કહે. વાત આટોપતા અદિતિ કહે, “તું ના પાડશે તો હું નહીં જાઉં પણ ફરીથી વિચારી જોજે. પ્રોમ-પાર્ટી વિષેની તારી માન્યતાઓમાં તથ્ય નથી” પ્રોમ નાઈટને ઘણા દિવસોની વાર હતી. અંતે અદિતિ મને પટાવીને જ રહી.
મારી રૂઢિગત માન્યતાઓ સાથે ક્યારેક સંદેહ જોડાઈ જતો. દીકરીઓની સલામતીની ચિંતાં મને ઊંઘમાં ય પરેશાન કરતી. ગીરના સિંહ જેવા મારાં પિતાની ઓળખ અહીં નહોતી તેથી અસલામતીએ મન પર એવો કબજો લઈ લીધેલો કે એકતા અવનિ સ્કૂલેથી છૂટે એટલે મારી નજર ઘડીયાળ પર સ્થિર થઈ જાય. સ્કૂલ દોઢ માઈલની અંદર હોય તો બસની સેવા ન મળે. બંને દીકરીઓએ પગપાળા રોજ દોઢ માઈલ ચાલીને સ્કૂલે જવાં આવવાનું. બરફની વર્ષા અને ઠંડીની મુશ્કેલી સામાન્ય હતી. એક અસામાન્ય વાત એ અરસામાં એ બની હતી સ્કૂલે જતી એક અમેરીકન બાળાનું અપહરણ થયું હતું. ટી.વી. પર આ સમાચારે ચકચાર જગાવી હતી. લાંબી તપાસને અંતે એક ચર્ચના પાદરીના બેઝમેંટમાંથી એની લાશ મળી હતી. આ કારણે આ નવા સમાજ પર વિશ્વાસ કેળવાતા થોડો વધારે સમય લાગ્યો હતો. બાળકોમાં સ્વીકારની ભાવના ઘણી વધારે હોય એટલે સંસ્કૃતિનો સમન્વય ત્રણે ય દીકરીઓ મારાંથી વધારે ઝડપથી કરી શકી. એકતા પર પૂર્વની સંસ્કૃતિનો વધુ પ્રભાવ જોવા મળે. અવનિ પર પશ્ચિમી સંસ્કૃતિની વધુ અસર અને અદિતિમાં બંનેનું સુભગ મિશ્રણ જોવા મળે. બંને સંસ્કૃતિનું ગૌરવ કરે તેવા જમાઈઓ સાથે ત્રણ પેઢી સુધીના ગાઢ સંબંધને તો કુદરતની કૃપા જ ગણી શકાય! ચાર દૌહિત્રોની જન્મભૂમિ અમેરીકા પણ હવે મારો દેશ છે. ભારત મારી જન્મભૂમિ છે અને હું બંને દેશોને ચાહું છું. પ્રેમની સીમાઓ વિસ્તરતી રહે એ જ સાચો ધર્મ! એની શરૂઆત કુંટુંબથી થાય છે અને હ્રદયમંદિરના સ્થિર ભાવોની શુદ્ધિ એ જ ભક્તિ!
ક્રમશઃ
