ગની દહીંવાલા

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું … મારું ખોવાણું રે સપનું.

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસતિ, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું … મારું ખોવાણું રે સપનું.

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો મારા સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું … મારું ખોવાણું રે સપનું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપણ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનું છપનું … મારું ખોવાણું રે સપનું.  

  :આસ્વાદઃ

દેવિકા ધ્રુવ

૧૯૦૮માં સુરતમાં જન્મેલ શ્રી ગની દહીંવાલા આમ તો ગઝલકાર તરીકે ખૂબ પંકાયા છે. પણ તેમણે ખૂબ સુંદર ગીતો અને મુક્તકો પણ લખ્યા છે.

‘મારું ખોવાણું રે સપનું ’ એ વાંચતાં જ ગમી જાય અને ગાતાં જવાય એવું મઝાનું ગીત છે. કશુંક ખોવાવાની વાત તો દુઃખની કહેવાય. એને મઝાની તો કેમ કહેવાય? પણ આ ગીતમાં ખોવાયેલને શોધવાની જે રીતો છે તે ખૂબ મઝાની છે. ક્યાંયે કોઈ વસ્તુ કે વ્યક્તિ ખોવાયાની વાત જ નથી આવતી. તો પછી દિલને હરી લેતા આ ગીતમાં એવું તે શું છે?

ગીતનું શીર્ષક અને એની ધ્રુવપંક્તિ એક ખોવાયેલા સ્વપનની પહેલેથી જ સ્પષ્ટપણે જાહેરાત કરી દે છે પણ એ સ્વપ્ન શેનું હતું? કોનું હતું? એમાં શું ખોવાઈ ગયું? આ બધા પ્રશ્નો સીધેસીધા વાચક પર છોડી દઈ સિફતપૂર્વક કવિ એને શોધવામાં પડી જાય છે; એમ કહીને કે “તમને જડે તો આપી દેજો. કારણ કે, એ બીજા કોઈને કામનું નથી!” વાહ..કવિ..સપનું ખોવાયાની વાતમાં હકીકતે શું ખોવાયું છે તે કહેવાની તમા રાખ્યા વગર એ તો ઉતાવળે ઉતાવળે લાગી જાય છે એની શોધમાં. એમને ખબર છે, અરે પૂરી ખાત્રી છે કે એ બીજા કોઈને કશા ઉપયોગમાં આવે તેમ છે જ નહિ. પોતે જાતે શોધવાનું છે. આ પ્રથમ બે પંક્તિઓમાં જ એક ચિત્ર ઊભું કરી દીધું છે. એટલું જ નહિ આ કોઈ અનન્યની શોધ કરવાની છે એનો પણ સંકેત મળી જાય છે. એટલે એ માનવજાતને બદલે સીધા કુદરત તરફ ધસી જાય છે.

પ્રથમ અંતરામાં સૌથી પ્રથમ જેનું સપનું ખોવાયું છે તે પહોંચે છે ચારે દિશાઓ તરફ. પૂર્વ દિશાને પૂછે છે તો એ જવાબ આપે છે કે, “મારી પાસે નથી. પશ્ચિમે ચોરી લીધું હશે.” તસ્કર શબ્દ પણ કેવો સહેતુક પ્રયોજાયો છે! અહીં ધાર્યું હોત તો સીધો ‘ચોર’ શબ્દ વાપરી શકાયો હોત. પરંતુ તસ્કરના ઘણાં અર્થોમાંનો એક અર્થ એ પણ છે કે, માણસના પગરવથી સંકોચાઈ જતું એક ઝાડ. અહીં અચાનક ભાવકચિત્તમાં અધ્યાત્મની જાણે વિચારદીવડી પ્રગટી જાય છે. ઉચિત શબ્દપ્રોગ એ એક સિદ્ધહસ્ત કવિની કલાત્મકતા છે. આગળ જતાં એ દક્ષિણ દિશાને પૂછે છે તો એ વળી ઉત્તર તરફ આંગળી ચીંધે છે. વગડાઓ વસ્તીને ચોર ઠરાવે છે, પર્વત સાગરનું નામ દઈ છટકી જાય છે અને ધરતી પણ આભનું નામ દે છે! આમ, એકબીજાં તરફ આક્ષેપો કરાતી ચારે દિશાઓનું કેવું સર્વકાલીન ચિત્ર ઊભું થાય છે? અને શોધક પોતાનું  સપનું ખોવાયાની રટણ કરતો દોડ્યે જ જાય છે.

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસતિ, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું … મારું ખોવાણું રે સપનું.

હવે શું કરવું ? એવી વિમાસણમાં એ મૂંઝાઈ જાય છે. એને અપાર પીડા થાય છે. ડૂબતો માણસ તરણું શોધે એ રીતે એ જડ વસ્તુઓને પૂછે છે, ચેતન પ્રકૃતિની એકએક વસ્તુઓને પૂછે છે. પૂ્છતો જાય છે અને મદદ પણ માગતો જાય છે. અણુએ અણુને કહે છે કે, તમે જરા જુઓને! એ સપનું સામાન્ય નથી. ખૂબ પ્રકાશ પાથરનારું છે. તેમાં તેજના અંબાર ભર્યા પડ્યા છે. એ જરાયે ઝાંખું નથી હોં. શક્ય તેટલું વર્ણન કરી વીનવે છે,આજીજી કરે છે કે મને મારું ખોવાયેલું સપનું પાછું મેળવી આપો. અહીં શબ્દે શબ્દમાં આર્જવભરી ઋજુતા છે, પામવાની ઝંખના છે, એક અંતરમાંથી ઊઠેલી સાચી તરસ છે.

“અણુ અણુ સાંભળજો મારા સમણાની એંધાણી” આ ક્યા પ્રકારનું સપનું હશે? કેવી રીતે અને શેનું  સપનું આવ્યું હશે? અને અધૂરા સ્વપ્ને જ આંખ ખુલી હશે? તો ફરીથી સપનું આવશે. એમાં શોધવાનું હોય કાંઈ? આવા કંઈ કેટલાયે સવાલો અને જીજ્ઞાસા ભાવકચિત્તમાં ઉઠ્યાં વગર રહેતાં નથી. ખરી ખૂબી તો એના જવાબો શોધવામાં છે ને? કદાચ કવિને મન એમાં જ વધુ રસ છે અને એ જ અભિપ્રેત પણ હશે.

હવે એક વાર્તાકારની અદાએ, ત્રીજા અને છેલ્લા અંતરામાં ખોવાયાના ખુલાસાઓ કરતાં કવિ કહે છે કે, એક કાળી રાત હતી. જગત આખું ઊંઘી ગયું હતું. સૌના જીવનમાં ચાલતી રહેતી જંજાળોની માયાજાળ પણ આંખોની પાંપણો ઢળવાથી સૂઈ ગઈ હતી. બધે જ જાણે કાળી શાહી પથરાયેલી હતી. એવા સમયે છાનામાના નીંદરમાં કોઈ આવ્યું. રૂપરૂપનો અંબાર હતો. એ પ્રકાશપુંજ પકડાયો નહિ. બસ, કશુંક સુંદર સરી ગયું હતું. મળી મળીને ખોવાઈ ગયું હતું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપણ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનું છપનું … મારું ખોવાણું રે સપનું.

લાગે છે સાવ સાદી સીધી એક સપનાની વાત. પણ શું ખરેખર એમ હતું? માણસમાત્રની જીંદગીમાં એવી સોનેરી સપના જેવી તકો આવે છે, એવી ક્ષણો આવે છે જેને  સાચી રીતે ઝીલી ન શકો તો એ સરી જાય છે. પછીથી એને ગમે તેટલી શોધવા મથો પણ એ કદી પાછી આવતી જ નથી. સુખ-દુઃખ, આધિ -વ્યાધિ વગેરે દ્વંદ્વો તો દરેકના જીવનમાં સતત આવતાં રહેતાં જ હોય છે. પણ એ્ની વચ્ચે પણ, એવે વખતે એકમેકની સામે દોષારોપણ કરવાને બદલે, આક્ષેપોભરી આંગળીઓ બતાવ્યા વગર વિવેકબુદ્ધિથી સાચો રાહ પકડી, તકની ક્ષણોને ઝડપી લેવાથી સપનાઓ સરી જતાં નથી. પછી એને શોધવાની દોટ મૂકવી પડતી નથી એવો ગર્ભિત સંદેશો આપતી આ કવિતા મનમાં કાયમી છાપ મૂકી જાય છે.

ત્રણ નાના અંતરામાં મઢાયેલા આ ગીતમાં સુંદર લય છે, પ્રાસાનુપ્રાસ છે, વાર્તાકારની જેમ વાર્તાવસ્તુ છે, ચિત્રકારની જેમ આબેહૂબ શાબ્દિક ચિત્રો છે, કુશળ નાટ્યકાર જેવાં સંવાદોની લાઘવતાભરી ઝલક છે, માનવ અને પ્રકૃતિ બંને સમાવિષ્ટ છે, જીવનની ફિલસૂફી છે તો તાત્ત્વિક્તાની ગર્ભિત છાંટ પણ છે.

“તમારા આજ અહીં પગલા થવાનાં..દિવસો જુદાઈના જાય છે..અને ગુજરાત મારો બાગ છે..” જેવી અફલાતૂન ગઝલોના રચયિતા ગનીભાઈ આમ તો માત્ર ત્રણ ધોરણ જ ભણેલા હતા પણ તેમની ભીતરી સંવેદના અને અભિવ્યક્તિની કલામાં પીએચડી.નો પ્રભાવ હતો.

ઉપરોક્ત ગીત ગેય હોવાથી સ્વરબદ્ધ થયેલ છે અને એકથી વધુ ગાયકોના સૂરમાં હજી પણ ગૂંજે છે.

આ સશક્ત કલમને નમન.


Devika Dhruva –  ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com