વનિતાવિશેષ

રક્ષા શુક્લ

બીજા માટે જીવવું,  ત્રીજા  માટે  શ્વાસ,
એવા જણ કાજ તો સમય લખે ઈતિહાસ.

                                  -હરદ્વાર ગોસ્વામી

એકવાર ખલીલ જિબ્રાન એક ખેતર પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યાં એમની નજર ચાડિયા પર પડી. આમ માણસ જેવો પણ તેમ માણસ જેવો નહીં. અર્થાત દેખાવે માણસ જેવો પણ સ્વભાવે માણસ જેવો નહીં. ફાટેલા-તૂટેલા કપડા પહેર્યા હતા પણ ચોકી કરવાની નિષ્ઠા નવીનક્કોર હતી. ચાડિયો નિર્જીવ હોવા છતાં તેની જીવંતતા સ્પર્શી ગઈ. તેમણે મનોમન ચાડિયાને સવાલ કર્યો. ‘તને એક જ અવસ્થામાં અવિરત ઊભા રહેવાનો થાક નથી લાગતો ?’

ત્યારે ચાડિયો જવાબ આપતો હોય એવું લાગ્યું. ‘પ્રકૃતિના પરિસરમાં રહેવાની મને મજા આવે છે. સૂર્ય-ચંદ્રની આવ-જા, ઉષા-સંધ્યાના મનમોહક રંગો અને રાતનું તારા ભરેલું આકાશ મને મોહે છે. પંખીઓનો ટહુકાર અને ઝરમર ઝરતો વરસાદ મને સતત આકર્ષે છે. એથી ય વધુ સેવા કરવાની મને તક મળી છે એનો આનંદ ઓર છે.

આપણે ત્યાં કહેવાય છે કે ‘માનવસેવા એ જ પ્રભુસેવા છે’ ઈશ્વરે જ્યારે માણસનો દેહ આપી અહીં ધરતી પર મોકલ્યા છે ત્યારે કોઈ નિસ્વાર્થ સેવા કરી ઈશ્વર તરફનું ઋણ અદા કરવું જોઈએ. આવી જ સેવાની મહેક ફેલાવી જીવી જનાર મધર ટેરેસા જુદી જ માટીના માનવી હતા. મોરારિબાપુ જેમ સત્ય, પ્રેમ અને કરુણાની વાત સતત કરતા રહે છે તેમ મધર ટેરેસાનો જીવનમંત્ર પણ પ્રેમ અને કરુણા હતા. તેમના માનવસેવાના કાર્યો અને સમગ્ર જીવન ઈશુને ચરણે સમર્પિત હતા. કુષ્ઠરોગીઓ, સમાજથી બહિષ્કૃત એવા દર્દીઓ, એઈડ્સ જેવા અસાધ્ય રોગથી પીડાતા મનુષ્યો આદિની આજીવન સેવા કરવી તે જ મધર ટેરેસાનો જીવનનો એકમાત્ર ધર્મ બની રહ્યો. તેમની સેવા દયાથી નહીં પણ કરુણાથી પ્રેરાયેલી હતી. ધર્મ કે સંપ્રદાયથી ઉપર ઉઠીને પ્રેમ અને સેવાના સનાતન મૂલ્યોનો મહિમા કરે તે મહામાનવ તો આપોઆપ વિશ્વવિભૂતિ બની જાય છે. લગભગ પોણી સદી જેવા દીર્ઘકાળ સુધી ‘બ્લેસેડ ટેરેસા ઓફ કલકત્તા’ના હુલામણા નામે વિશ્વભરમાં આદરપૂર્ણ સ્થાન પામેલ. મધર ટેરેસા હંમશા કહેતા ‘મનુષ્યજાતને રોટલાની ભૂખ કરતાં પ્રેમ માટેની ભૂખ ઘણી વધુ છે અને તેને તૃપ્ત કરવાનું કામ ઘણું મોટું છે.’

બાળપણથી ધાર્મિક એવા મધર ટેરેસાએ ૧૮ વર્ષની ઉંમરે  સિસ્ટર થઈ મિશનરી બનવા માટે ઘર છોડયું. મધર ટેરેસા ભારતીય નાગરિકત્વ ધરાવતાં એક આલબેલિયન રોમન કેથેલિક નન હતાં. તેઓએ કલકત્તામાં ઠેક-ઠેકાણે ચેરિટી મિશનરીની સ્થાપના કરી હતી. ૪૫ વર્ષ સુધી તેઓએ અવિરત સેવા કરી. ગાંધીજી હંમેશા કહેતા કે ‘Man can never be a woman’s equal in the spirit of selfless service with which nature has endowed her’. મધરે પ્રથમ ભારતભરમાં અને ત્યાર બાદ અન્ય દેશોમાં ચેરિટી મિશનરીના વિસ્તરણ માટે માર્ગદર્શન પૂરું પાડયું. ૧૯૭૦ના દાયકા સુધીમાં તો તેઓ ગરીબ, બીમાર, તરછોડાયેલા અને અસહાય લોકોનાં બેલી તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામી ચૂક્યાં હતાં. તેમના જીવન પર એક દસ્તાવેજી ચિત્ર પણ બન્યું. પુસ્તકો પણ લખાયા. તેમના મૃત્યુ સમયે ૧૨૩ દેશોમાં આવા ૬૧૦ મિશન ચાલતાં હતાં. પ્રમુખસ્વામીના દેદીપ્યમાન ચહેરાને નીરખીએ તો આપણામાં અનોખી ચેતનાનો સંચાર થતો હતો તેવી રીતે મધર ટેરેસાને નજીકથી જાણનારા કહે છે કે તેમની સાથે હેન્ડશેક કરવાથી એવી ઉષ્માનો અનુભવ થતો હતો કે તેમની સાથે જોડાયા વિના છૂટકો જ ના થાય. તેમની સાથે હાથ મેળવતા જ જાણે કશુંક થઈ જતું હતું.

પોતાના જીવનના અંતિમ દિવસો સુધી તેઓ ગરીબ લોકોના શૌચાલય સ્વંય સાફ કરતાં હતાં. તેમની વાદળી રંગની કોરવાળી સાડી પણ તેઓ હંમેશા જાતે જ ધોતાં હતાં. મધર ટેરેસાએ નન(સન્યાસીની)ના વસ્ત્રોનો ત્યાગ કરી અને ભારતીય સાડી અપનાવી લીધી હતી. આ સાડી તેમની ખાસ ઓળખ એટલે બની કેમ કે આ સાડી રંગબેરંગી નહીં પણ સફેદ કલરની હતી અને તેની ચારેબાજુ વાદળી રંગની બોર્ડર રહેતી. તેઓ હંમેશાં આ જ સાડીમાં જોવા મળતાં. મધરે માત્ર પહેરવેશ જ નહીં પણ પોતાની રહેણીકરણી પણ ભારતીય જ કરી નાખી હતી. તેમનું ભોજન બહુ સાદું રહેતું હતું… ખીચડી, દાળ અને દસ-વીસ દિવસે એકવાર મચ્છી. મચ્છી એટલે કે બંગાળમાં તે સામાન્ય ખોરાક ગણાય છે. મધરને ચોકલેટ બહુ ભાવતી હતી. તેમનું અવસાન થયું ત્યારે તેમના ટેબલના ખાનામાં પણ કેડબરી ચોકલેટ પડેલી હતી. એટલે જ કદાચ એમની જીભમાં  કદી કડવાશ જોવા મળતી ન હતી. ઢીંચણ વાળીને જમીન પર બેસવાનું, દાળ, ભાત, શાક વગેરેને થાળીમાં લઇને હાથથી ખાવાનું, કપડાંને જાતે ભારતીય રીત પ્રમાણે ધોવાનાં, આ બધું જ મધર જાતે કરતાં. તેમને ભારતીય નાગરીક્તવ ભલે ૧૯૫૧માં પ્રાપ્ત થયું પણ ભારતીય સંસ્કૃતિ તો તેમણે ક્યારની ય અપનાવી લીધી હતી.

૧૯૬૨માં મધર ટેરેસાને પદ્મશ્રી એનાયત કરીને ભારતે તેમનું પ્રથમ બહુમાન કર્યું હતું. ૧૯૭૯ના સમયમાં તેમને નોબલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. વિશ્વ બૅન્કના પ્રમુખ રૉબર્ટ મેક્નામારાએ કહ્યું કે, “મધર ટેરેસા નોબેલ શાંતિ પુરસ્કાર માટે સૌથી લાયક છે, કેમ કે તેઓ માનવીય મર્યાદાઓનો ભંગ કર્યા વિના શાંતિ સ્થાપનામાં માનતાં હતાં.” ૧૯૭૨માં તેમને આંતરરાષ્ટ્રીય સમજણ માટે જવાહરલાલ નેહરુ એવોર્ડ અને ૧૯૮૦માં ભારતનું સર્વોચ્ચ નાગરિક બહુમાન ભારત રત્ન તેમને એનાયત કરી નવાજવામાં આવ્યા હતા. ઇન્ડિયન ઍરલાઈન તથા ઍર ઇન્ડિયાએ મધર ટેરેસાની સેવાઓની કદર રૂપે તથા ભારતીય સમાજ પરના તેમના પ્રભાવને પારખીને તેમને ભારતમાં કે વિશ્વમાં ગમે ત્યાં નિ:શુલ્ક વિમાન મુસાફરીની સગવડ કરી આપી હતી. ભારતીય રેલવે દ્વારા પણ આવી જ સવલત મધરને પૂરી પડાઈ હતી.

ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર નવીન ચાવલાએ મધર ટેરેસાની જીવનકથા લખી છે. મધર ટેરેસાને તેઓ  ૧૯૭૫માં પ્રથમવાર મળ્યા હતા. નવીન ચાવલાએ બીબીસીને જણાવ્યું કે, “મેં એક બાબત નોંધી હતી કે મધર ટેરેસાની સાડી એકદમ સ્વચ્છ હતી, પણ તેમાં ઘણી જગ્યાએ રફુ કરવામાં આવેલું હતું, જેથી તે ફાટેલી ન દેખાય.”

મેં કોઈ સિસ્ટરને પૂછ્યું હતું કે ‘મધરની સાડીમાં આટલા બધા રફુ કેમ કરેલા છે ?

તો તેમણે કહ્યું કે ‘નિયમ અનુસાર અમારી પાસે માત્ર ત્રણ જ સાડી હોવી જોઈએ. એક પહેરવા માટે, એક ધોવા માટે અને એક ખાસ પ્રસંગોએ પહેરવા માટે.’

મધર ટેરેસા પાસે પણ ત્રણ જ સાડી હતી. તેમણે પોતાની મરજીથી આવી રીતે ગરીબીને અપનાવી હતી, તેમની કોઈ મજબૂરી નહોતી.’ સત્ય, પ્રેમ અને કરુણાનું ઓઢણ મન માટે હતું.

નવીન ચાવલા કહે છે કે આટલું ગંભીર કાર્ય કરવા છતાં અને સતત દુઃખી અને પરેશાન લોકોની વચ્ચે રહેવાં છતાં તેમનામાં સેન્સ ઑફ હ્યુમર અકબંધ રહી હતી. તેઓ કહે છે, ‘બહુ ગંભીર સ્થિતિને પણ તેઓ હળવાશથી લેતાં હતાં. તેઓ કોઈ સિસ્ટરની નિમણૂક કરતા, ત્યારે એક જ શરત રાખતાં કે તેનામાં સેન્સ ઑફ હ્યુમર હોવી જોઈએ. તેઓ હંમેશા રમૂજ કરતાં રહેતાં હતાં.’

‘કોઈ વાત બહુ હસવા જેવી લાગે ત્યારે પોતાના કમરે હાથ રાખીને હસી હસીને બેવડ વળી જતાં હતાં.’

નવીન ચાવલા કહે છે, “મેં તેમને પૂછ્યું પણ હતું કે તમે આટલું ગંભીર કામ કરો છો તો પણ કઈ રીતે હસી શકો છો? કઈ રીતે સદાય હસતા રહો છો અને જોક્સ સંભળાવી શકો છો?”

‘તેમનો જવાબ હતો કે હું ગરીબ લોકો પાસે ઉદાસ ચહેરો લઈને ના જઈ શકું. મારે તેમની પાસે ખુશખુશાલ ચહેરા સાથે જ જવું પડે.’ મધર ટેરેસાની હંમેશા કહેતા ‘આ દુનિયા પર આપણે મોત અને દુઃખ નહીં, બલકે, શાંતિ અને આનંદ ફેલાવીએ’.

માનવતાલક્ષી પ્રવૃતિ કરવા છતાં ક્યારેક તેમણે વિવિધ પ્રકારની ટીકા-ટિપ્પણીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. મધર ટેરેસા દ્વારા કરવામાં આવતા સેવાકિય કામકાજોને ક્યારેક નિંદાનો પણ ભોગ બનવુ પડ્યુ હતુ. એવું કહેવાતું કે મીડિયામાં સિફતપૂર્વક મધર ટેરેસાની એવી જ છબી ઉપસાવવામાં આવી કે એ ગરીબોના મસીહા અને સેવાની મૂર્તિ છે. પરંતુ તેમના કારણે દેશમાં ખૂબ ધર્માંતરણ થયું. મધર માટે કોઈ પણ વ્યક્તિને માન થાય કેમ કે તેઓ આલ્બેનિયન પરિવારમાંથી આવતા હતા અને પોતાનો દેશ છોડીને છેક અહીં કલકત્તામાં સેવા કરવા આવ્યા હતા. આ માટે તેમને શત શત વંદન પરંતુ તેમણે જે પ્રવૃત્તિ કરી તેમાં ધર્માંતરણનો હેતુ હતો તેને કોઈ નકારી શકે તેમ નથી. ભારત પાસે સૌથી મોટી આશા તમને શું છે એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું, ‘બધાને જિસસ સુધી પહોંચાડવા’. તેમણે આ ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું હતું કે જો હિન્દુઓ શાંતિ ઈચ્છતા હોય, સુખ ઈચ્છતા હોય તો તેમણે જિસસને શોધવા જોઈએ.

સંઘના વડા મોહન ભાગવતે મધર ટેરેસા વિશે ટીકા કરી હતી કે તેમની સેવા હિન્દુઓને ખ્રિસ્તી બનાવવા માટે હતી. એમાં આપણાં માધ્યમો ઉકળી ઉઠ્યાં. મધર સામેના ધર્માંતરના આક્ષેપો સામે કોઈ ચોક્કસ દાખલો એ આક્ષેપકારો પાસે નથી. અરોપ ચેટર્જી દ્વારા લખાયેલ પુસ્તક ‘ધ અનટોલ્ડ સ્ટોરી’માં મધર ટેરેસાના જુઠ્ઠાણા અને તેના ધર્માદાના કાર્યો વિશેની અતિશયોક્તિ વિશે વાતો કરેલી છે. મધર ટેરેસા અને તેના સેવાકાર્યો વિશે જે પ્રચાર કરવામાં આવ્યો હતો તે માત્ર આંશિક રીતે સાચું હતું. પત્રકાર અને લેખક ક્રિસ્ટોફર હિચેન્સે ૧૯૯૪માં ‘હેલ્સ એન્જલ’ નામની એક ડોક્યુમેન્ટરી બનાવી હતી જેમાં ટેરેસાના ચેરિટી કાર્યની ખૂબ ટીકા કરી હતી. એવું કહેવાતું કે મધરને પૈસાના રંગની પડી ન હતી. એ ભલે પછી ગુનાહિત કામમાંથી કે ગુનેગાર પાસેથી આવ્યા હોય. એ વિશે કોઈ પારદર્શિતા પણ નહોતી. મધર ટેરેસા અસંખ્ય વિદેશ પ્રવાસ પર ગયા હતા અને કોઈ દુર્ઘટના સમયે ભારતમાં ભાગ્યે જ ઉપલબ્ધ રહેતા, જેમ કે સપ્ટેમ્બર ૧૯૯૩માં લાતૂર ભૂકંપ અથવા કલકત્તામાં પૂર વખતે બનેલું તેમ.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર અને સર્જનક્ષેત્રે અત્યંત પ્રવૃત્ત એવા ફાધર વર્ગીસ પૉલે એમના પુસ્તક ‘વિશ્વવિભૂતિ: મધર ટેરેસા’માં મધર વિશે અનોખી અને પ્રભાવક રજૂઆત કરી છે. મધર ટેરેસાને નિકટતાથી જાણીને મૂલવ્યા છે અને કદર કરી છે. મધર વિશેના લેખોના આ સંગ્રહમાં તેઓ કહે છે કે ‘મને આ વિશ્વવિભૂતિને મળવાની તેમજ તેમને નજીકથી ઓળખવાની તક મળી છે. મારા અભ્યાસ અને અનુભવથી લખાયેલ આ પુસ્તકમાંથી મને આશા છે કે, મધર ટેરેસાની ટીકા કરનારાઓ તેમજ કદર કરનારાઓને તેમના વિશે કંઈક નવું પાસું જાણવા મળશે; કંઈક નવી દ્રષ્ટિ જોવા મળશે.’ પણ નિસ્વાર્થ સેવા કરનારે ‘કુછ તો લોગ કહેંગે…’ ગીત યાદ કરી હંમેશા કામ કરવું પડે એ નક્કી.


ઇતિ

મારી સફળતાનું રહસ્ય એ હતું કે હું મારા કામ કરવાના ખંડમાં કદી ઘડિયાળ રાખતો ન હતો.

-થોમસ આલ્વા એડિસન


સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.