– અશોક ભાર્ગવ અને ડૉ. લતા શાહ

કૃત્રિમ બુદ્ધિ (Artificial Intelligence-AI) અથવા તો બનાવટી બુદ્ધિ (બબુ)નાં એંધાણ કેટલાંક વર્ષોથી વર્તાતાં હતાં પણ આજે તે હકીકત બનીને ઉંબરે આવીને ઊભી છે ત્યારે એનાં સારાં નરસાં પાસાઓને ચકાસી લેવાં જોઈએ. કમ્પ્યુટર ક્ષેત્રમાં થયેલ આ હરણફાળ એવાં ઘણાં કામો કરવામાં સક્ષમ છે જે માણસની ક્ષમતાથી પર છે. વૈજ્ઞાનિક શોધખોળમાં જ્યાં વિશાળ માહિતીનું વિશ્ર્લેષણ ઝડપથી કરવાની જરૂર હોય છે ત્યાં આનો ઉપયોગ આવકાર્ય છે. અલબત, આ ટેકનોલોજી માણસની જેમ કામગીરી કરી શકે છે પણ જે કામો કરવાથી માણસની ક્ષમતા અને બુદ્ધિનો વિકાસ થાય છે અને જે કરવામાં માણસને મજા પડે છે તેવાં કામોથી આ ટેકનોલોજીને દૂર રાખવી જોઈએ. જો આ તકેદારી ન રાખવામાં આવે તો ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં જે કામો અને સંઘર્ષ કરવાથી માણસની બુદ્ધિનો આટલો વિકાસ થયો છે તે રૂંધાઈ શકે છે. આ લેખમાં આપણે જોઈશું કે આપણું મગજ કેવી રીતે વિકાસ પામ્યું છે અને તે કેવી રીતે કામ કરે છે. આપણે એ પણ જોઈશું કે બબુ (AI) આપણાં શિક્ષણ, જીવન શૈલી અને નાગરિકત્વને કેવી રીતે પ્રભાવિત કરશે.
આપણું મગજ અને બુદ્ધિનો વિકાસ
બધાં પ્રાણીઓએ જીવન ટકાવી રાખવા માટે પરિસ્થિતિ મુજબ બદલાઈ જવું પડે છે અથવા પરિસ્થિતિને પોતાને અનુકૂળ બનાવી લેવી પડે છે. મોટાભાગનાં પ્રાણીઓ પરિસ્થિતિ મુજબ બદલાઈ જાય છે પણ માણસજાતે પરિસ્થિતિને બદલવામાં મહારત હાંસલ કરી છે. બે પગ પર ચાલતાં શીખ્યો એટલે એની દૃષ્ટિ વ્યાપક થઈ અને બે હાથ છુટ્ટા થયા. હાથ વડે કામ કરતાં કરતાં એના મગજનો ઝડપથી વિકાસ થયો.
શરૂઆત પથ્થરનાં ઓજાર અને હથિયાર બનાવવાથી થઈ. જેમ જેમ આ ઓજારો પરિષ્કૃત થતાં ગયાં, મગજની કાર્યક્ષમતામાં વધારો થતો ગયો. આગની શોધે માણસને અજવાળું આપ્યું, ઠંડી અને હિંસક પ્રાણીઓથી રક્ષણ આપ્યું અને કાચા ખોરાકને બદલે પકવેલો ખોરાક ખાવાની સગવડ કરી આપી. પકવેલો ખોરાક ખાવામાં સહેલો હતો અને એમાંથી ઊર્જા વધારે મળવાને લીધે મગજની ક્ષમતા વધી. એનાં જડબાંના કદમાં ઘટાડો થયો અને મગજના કદમાં વધારો. ધરતીના હવામાનમાં ફેરફારને લીધે માણસને ઘણી વાર હિજરત કરવાની ફરજ પડી છે. નવી જગ્યા વિશે જાણવા – સમજવા અને તેને અનુકૂળ થવાની કસરતને લીધે પણ મગજના કદમાં વધારો થયો. પ્રાકૃતિક હાડમારીઓ સામે ઝઝૂમવા માટે કુટુંબ કબીલાના સહકાર, લાગણીઓ અને બળબુદ્ધિની જરૂર પડે. એટલે ભાવનાઓ મગજની કાર્યક્ષમતામાં અગત્યનો ભાગ ભજવે છે. આદિમાનવ કરતાં આપણા મગજનું કદ ત્રણ ગણું મોટું છે.
આખું મગજ સ્નાયુકોષિકાઓનું બનેલું હોય છે. આકાશગંગામાં જેટલા તારા છે તેના કરતાં સો ગણા કોષ આપણા મગજમાં હોય છે. એટલે કે આશરે 100 અબજ. આપણા આ કરચલીવાળા મગજના વિકાસમાં લાખ્ખો વરસ લાગ્યાં છે. પણ કરચલીની નીચે આપણું જૂનું મગજ અકબંધ છે. આપણું હલન ચલન, શ્ર્વાસોચ્છ્વાસ અને હૃદયના ઘબકારા આ જૂના મગજને આભારી છે. સેરેબેલમ કહેવાતા આ મગજને લીધે જ આપણે સંતુલન જાળવી શકીએ છીએ. જો સેરેબેલમ ન હોય તો આપણે બે પગ પર ચાલી જ ન શકીએ. બાળક જ્યારે માના પેટમાં હોય છે ત્યારે તંત્રિકાકોષ અથવા ન્યૂરોન એક મિનિટમાં અઢી લાખ કોષોની ઝડપથી વધે છે. સાત મહિનાના ગર્ભના મગજમાં લગભગ બધા જ એટલે કે 100 અબજ ન્યૂરોન બની ગયા હોય છે.
પણ ફક્ત અઢળક ન્યૂરોન હોવાને લીધે જ આપણું મગજ આટલું સરસ કામ નથી કરતું. અસલ કારણ છે ન્યૂરોનના આપસી સંપર્ક. દરેક નાનું ન્યૂરોન દસ હજાર જેટલાં જોડાણો બનાવી શકે છે. કેટલાક ન્યૂરોન તો વળી સાઠ હજાર જેટલાં જોડાણો પણ બનાવી શકે છે.
જ્યારે ન્યુરોન એકબીજા સાથે જોડાય છે ત્યારે નેટવર્ક બને છે, જોડાણોને લીધે ન્યૂરોનોમાં વિદ્યુત-રસાયણિક સંદેશાઓ પ્રસારિત થઈ શકે છે. બાળકના વિકાસનાં થોડાં જ વરસોમાં સો અબજ ન્યૂરોન એક લાખ અબજ જોડાણો બનાવી દે છે. પ્રકૃતિની જેમ માણસોમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. દરેક વ્યક્તિ નોખી છે. તે વિશિષ્ટ વ્યક્તિત્વ અને કૌશલ્ય ધરાવે છે. જેના લીધે તેના મગજના લાગતા વળગતા વિભાગમાં જોડાણની સંખ્યા વધતી-ઓછી હોય છે. તેની શીખવાની પદ્ધતિ પણ જુદી હોય છે. ‘બબુ’ બધા માણસોને ડોબા ગણી એક જ લાકડીએ હાંકવા માંગે છે.
શિક્ષણ પર અસર
દરેક બાળક ઉત્સુકતા, તર્કબુદ્ધિ અને સર્જનાત્મકતા સાથે જન્મે છે. અનુકરણ, શોધખોળ, પ્રયોગ, સર્જન મારફત તે જ્ઞાન મેળવે છે. આપણા મગજમાં મિરર ન્યૂરોન હોય છે, જેના વડે આપણે બીજા લોકોનું અનુકરણ કરીને શીખીએ છીએ. આ મિરર ન્યૂરોનના કારણે જ આપણે બીજાનાં દુ:ખમાં દુ:ખી અને બીજાનાં સુખમાં આનંદ માણીએ છીએ. એટલે જ ન્યૂરોસાઇન્ટિસ્ટ વી. એસ. રામચંદ્રને મિરર ન્યૂરોનનું નામ “ગાંધી ન્યૂરોન” પાડેલું.
બાળકની ઉત્સુકતાનાં મૂળિયાંને પ્રાથમિક શાળાઓમાં જ કાપી નાખવામાં આવે છે. શોધખોળને આજના શિક્ષણમાં ઝાઝો અવકાશ નથી. મોટાભાગની નિશાળોમાં સાધન-સામગ્રીના અભાવે વિદ્યાર્થીઓ પ્રયોગ કરવાને બદલે પ્રયોગ લખે છે. ચિંતાજનક બાબત એ છે કે સર્જનનો અર્થ શિક્ષકે ચીંધેલાં ચિત્રો દોરવાં અને બીજા કોઈએ બનાવેલ પ્રોજેક્ટ રજૂ કરવા, એવો કરાય છે.
સાર્વજનિક શિક્ષણ બધા વિદ્યાર્થીઓ પાસેથી એક જ રીતે શીખવાનો આગ્રહ રાખે છે. ઉદ્યોગોની માંગ પ્રમાણે બીબાંઢાળ શિક્ષિતો તૈયાર કરવામાં આવે છે. જેના લીધે વ્યક્તિમાં રહેલી વિશિષ્ટ પ્રતિભાઓ ગૂંગળાઈ જાય છે. માણસ ઘણું બધું જ્ઞાન પોતાના અનુભવો વડે મેળવે છે. બબુ (AI) બધી માહિતી આંકડા ભેગા કરીને મેળવે છે. તેમાં દરેક માણસના આગવા અનુભવને સ્થાન નથી. બબુ (AI) પદ્ધતિથી મળતા શિક્ષણમાં વિદ્યાર્થીઓની પોતાની રીતે શીખવાની યોગ્યતા બુઠ્ઠી થઈ જાય. તેઓ સર્જનાત્મક રીતે સમસ્યાઓનો ઉકેલ શોધવામાં કાચા પડે અને વિવેચનાત્મક રીતે વિચાર ન કરી શકે.
ગ્રાહક પર અસર
આ દુનિયામાં લાખો લોકો સામાન અને સેવાઓના વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ અબજો રૂપિયાના વ્યવસાયનો હેતુ માનવમનને બજારમાં ઉપલબ્ધ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે ઉશ્કેરવાનો અથવા પ્રભાવિત કરવાનો છે. આપણામાંથી ઘણા ઓછા લોકો જાણે છે કે માનવમન કેવી રીતે કામ કરે છે. તેને શું ગમે છે? શું નહીં? તે કેવી રીતે નક્કી કરે છે કે બજારમાં ઉપલબ્ધ અસંખ્ય સામાન અને સેવાઓમાંથી શું ખરીદવું અને શું નહીં ? છેલ્લાં કેટલાંક વર્ષોમાં ન્યુરોસાયન્સ અને સાયકોલોજીની શોધનો ઉપયોગ વેપારીઓ આપણા મન પર નિયંત્રણ મેળવવા માટે કરી રહ્યા છે.
અત્યારે પણ આપણા સોશ્યલ મીડિયા, ઑનલાઇન ખરીદી, ગૂગલ મેપ મારફત આપણી પસંદગી, શોખ, ખરીદશક્તિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. બબુ (AI) મારફત આવી જાસૂસીમાં અનેકગણો વધારો થશે.
બબુ (AI) વાપરીને વેચેલી એક વસ્તુના અભ્યાસ પરથી જાણવા મળ્યું કે ઘણાં બધાં પરિબળોએ ગ્રાહકને વસ્તુ ખરીદવા માટે પ્રભાવિત કર્યા સિવાય કે વસ્તુની માહિતી (Product Information) વગર એટલે કે બબુની દોરવણી હેઠળ તમે એવી વસ્તુ ખરીદી લાવશો જેના વિષે તમને માહિતી પણ નથી. અત્યારે પણ આપણે આવા બજારના કેટલાક અંશે શિકાર બની ગયા છીએ જ, બબુના આગમનથી તેમાં ધરખમ વધારો થશે. મારા એક મિત્રે સોનીની જાણીતી દુકાનની મુલાકાત લીધી. બીજે દિવસે તેના મોબાઈલમાં સોનાનાં ઘરેણાંની જાહેરાતો દેખાવા માંડી! આ છે બબુનો પ્રતાપ!
નાગરિકત્વ પર અસર
જાગૃત અને સક્રિય નાગરિક એટલે જે મતાધિકારનો ઉપયોગ કરી શકે, જનકલ્યાણ માટે નીતિઓ ઘડવામાં ભાગ લઈ શકે, તેમાં સુધારા વધારા કે તેની ટીકા કરવા માટે ચર્ચા કે આંદોલનમાં ભાગ લઈ શકે અને લોકપ્રતિનિધિ થવા માટે ચૂંટણી લડી શકે. આજે આપણે જોઈએ છીએ કે તે જાગૃત નાગરિક મટીને નિષ્ક્રિય પ્રજાની ભીડનો ભાગ બની ગયો છે.
સિત્તેરના દાયકામાં જાહેર જીવનને લગતા વિવિધ પ્રશ્ર્નો પર ચોરે ને ચૌટે ચર્ચાઓ થતી હતી. કૉલેજોમાં વાદવિવાદ થતા, છાપાં અને સામયિકોમાં ચર્ચા પત્રો લખાતાં, એક મંચ પરથી જુદા જુદા પક્ષોના આગેવાનો પોતાના વિચારો રજૂ કરતા. આ બધામાં નાગરિકો ભાગ લેતા અને પોતાને લાગતી વળગતી સમસ્યાઓની છણાવટ કરતા. ટીવી અને મલ્ટિમીડિયા આવ્યા પછી આપણે નિષ્ક્રિય દર્શક બની ગયા છીએ.
મીડિયા લોકશાહીનો એક પાયો મટીને ધનકુબેરોના હાથમાંના સત્તાધીશોનો ચાટુકાર બની ગયો છે. બબુ (AI)નો દુરુપયોગ કરી મીડિયા તમને ખોટા સમાચારોને વિશ્ર્વસનીય બનાવીને ભ્રમમાં નાંખશે. લોકલાગણીઓને ઉશ્કેરી લોકો વચ્ચે વૈમનસ્ય ઊભું કરી અગત્યના પ્રશ્ર્નોથી તમારું ધ્યાન ભટકાવી શકવાની ક્ષમતા બબુ ધરાવે છે.
સ્વમાનભેર જીવન જીવવા માટે સ્વાશ્રયી કે આત્મનિર્ભર બનવું પડે. વિશ્ર્વીકરણ અને બજારીકરણ આપણને પરસ્પરાવલંબી બનાવવાને બદલે પરાવલંબી બનાવવા મથી રહ્યા છે. ચીલાચાલુ શિક્ષણ, બજાર અને રાજકારણ આપણી યોગ્યતા, જીવનશૈલી અને સ્વાતંત્ર્ય પર હાવી થઈ ગયાં છે. જો આપણે નિષ્ક્રિય દર્શક બની રહ્યા તો બબુ (AI) આ પકડમાં વધારો કરશે.

AI નું ગુજરાતી નામ ‘બબુ’ ગમ્યું. આમ તો બાળક ને વહાલથી બોલાવવા માટે નો શબ્દ છે પણ એમાં થી ગ્લેમર ઓછી અને બુધ્ધુપણું વધારે ઉપસતું હોવથી વધુ ગમ્યું !
LikeLike