સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
‘ઑડીટ’ જેવા રોજબરોજના અનુભવોમાંથી ક્યારે પણ શીખવાનું મળી શકે એવું તમે વિચાર્યું છે ખરૂં? જો આપણે ખરેખર કંઈ (પણ) શીખવા માંગતા હોઇએ, તો લગભગ દરેક અનુભવ કંઈને કંઈ પદાર્થ પાઠ આપી જઈ શકે છે. ફકત આપણા મનના દરવાજા ખુલ્લા રાખવા પડશે!
સમસ્યાઓ વિશેની ચર્ચા કરતી વખતે, ઘણા વર્ષોના અનુભવી એક ઓડિટ સલાહકાર કહે છે કે:
જો આપણા પરિવારનો કોઈ સભ્ય અપંગ હોય, તો આપણે હાર માન્યા વગર તેમની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે આપણાથી બનતું બધું જ કરી છૂટીએ છીએ. માતાઓ તેમના બાળકોને ખૂબ ધીરજથી શીખવે છે. છતાં કેટલીકવાર, બાળક કંઈ ઊંધું કરીને મુશ્કેલ પરિસ્થિતિઓ પણ ઊભી કરી દેતું હોય છે. એ સંજોગોમાં, હાર માન્યા સિવાય જ, માતા બાળકે જે શીખવું જ જોઈએ તે અલગ અલગ રીતે શીખવાડવાના પ્રયાસ મુકી નથી દેતી.
સંસ્થામાં વરિષ્ઠ મેનેજમેન્ટ અને અગ્રણીઓની ભૂમિકા પણ આવી જ છે. સમસ્યાઓ, અવરોધો, અંધારી ગલીઓ, મુશ્કેલ મુદ્દાઓ અને નિર્ણયો તેમજ નિર્ણય આધારિત પગલાંઓ વિશે પસંદગીઓ તો અહીં ડગલેને પગલે છે. એક અગ્રણી તરીકે તમારી પાસે બે વિકલ્પ છે. પ્રયત્નો છોડી દેવા, અથવા સતત ઉકેલ શોધતા રહેવું. જો તમારી પાસે તેનો સામનો કરવા માટે ધીરજ હોય તો સમસ્યાઓ હલ કરવા માટે તમે હંમેશા કંઈક તો કરી જ શકો છો,. હા, તમારે પૂરતી કાળજી જરૂર રાખવી પડશે.
માત્ર વરિષ્ઠ મેનેજમેન્ટ માટે જ નહીં, પણ દરેક સ્તરનાં વ્યાવસાયિકો માટે પણ આ સલાહ ખુબ ઉપયોગી છે. જોકે નવાઈની વાત એ છે કે મુશ્કેલ પસંદગીઓ/પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે આપણે કેટલી સહેલાઈથી હાર માની લેતાં હોઈએ છીએ, અથવા તો કોઈ ઉપરી વ્યક્તિને આપણી સમસ્યા સોંપી દેતાં હોઈએ છીએ.
અહીં કેટલાક મહત્ત્વના પ્રશ્નો મુક્યા છે તેના જવાબ ખરા દિલથી આપજો:
- એક વ્યાવસાયિક તરીકે, તમે કેટલી જલ્દી હાર માની લો છો?
- થોડો વધુ પ્રયત્ન કરવાથી તમારા વર્તમાન પડકારોમાંની કઈ સમસ્યાઓ હલ કરી શકાય તેમ છે?
- તમને વણઉકેલાયેલી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી શકે એ રીતે તમે કોઈની અર્થપૂર્ણ મદદ માગી શકો તેમ છો?
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.