નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ
આશા વીરેન્દ્ર
ચૌકોરી જતાં પહેલાં રસ્તામાં પાતાલ ભુવનેશ્વર ગુફા જોવાનો કાર્યક્રમ નક્કી થયેલો. ત્યાંની મુલાકાત લઈ આવેલાં ઘણાં લોકોએ આ ગુફા જોવાની ભારપૂર્વક ભલામણ કરી હતી. પણ પેલી ટ્રક આડી ઉતરી એમાં એ પ્રોગ્રામ આખો ચોપટ થઈ ગયો. ગુફામાં જવા ટિકિટ લેવી પડે છે. તે માટે ટિકિટ બારી સાંજે ચાર વાગ્યા સુધી જ ખુલી હોય. તેની સામે અમે તો ત્યાં છ સાડા છ પહેલાં પહોંચી શકીએ એવી કોઈ શક્યતા જ નહોતી. એટલે સીધાં ચૌકોરી તરફ આગળ વધ્યાં.
રસ્તામાં બૈજનાથ આવ્યું. ત્યાંનું મહાદેવનું મંદિર જોવા અમે રોકાણ કર્યું.
વિશાળ સરોવરની અડોઅડ આવેલું આ મંદિર ઘણું પ્રાચીન અને રળિયામણું છે. ત્યાંનાં મનમોહક વાતારવણમાં તળાવની શીતળતા મંદિરની પવિત્રતામાં ઉમેરો કરતી હતી. કલાકો સુધી બેસીને જોયા જ કરીએ તોય મન ન ભરાય એવું આ સુંદર સ્થળ હતું. પરંતુ સમયનો અભાવ હોવાથી અમે ચાલો, ચાલો કરતાં, પરાણે પરાણે, ગાડી તરફ પ્રયાણ કરવા લાગ્યાં.
મંદિરના સામેના ચોગાનમાં એક ખુબ મોટો, ભારેભરખમ, સફેદ પથ્થર હતો. નક્કી તપાસ તો ન થઈ શકી, પણ સો દોઢસો કિલો વજનનો તો હશે જ! ત્યાં ઊભેલા એક ભાઈએ કહ્યું કે દસબાર જણ તૈયાર થઈને જોર કરે તો પણ આ પથ્થર ઉપડે નહીં. પણ જો નવ વ્યક્તિ ભેગી થઈને પોતાની ફક્ત એક એક આગળી જ અડાડે તો પથ્થર ઊંચકાઈ જાય.
સામાન્ય બુદ્ધિથી આ વાત સહેલાઈથી સમજાય એવી નહોતી. પણ એમણે તો જણાવ્યું કે, વર્ષો પહેલાં ટીવી પર ‘સુરભિ’ કાર્યક્રમ આવતો હતો એમાં સિદ્ધાર્થ કાક અને રેણુકા શહાણેએ આ પ્રયોગ કરી બતાવ્યો હતો. આટલું સાંભળ્યા પછી એમની વાત માનવી પડે તેમ તો હતી, પણ એનાં પારખાં કરવા પુરતો અમારી પાસે સમય નહોતો. એટલે ભોળા શંભુની જય બોલાવીને અમે ચૌકોરી જવા નીકળ્યાં.
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.