ચિરાગ પટેલ
उ. २०.२.५ (१७८४) ऐभिर्ददे वृष्णया पौंस्यानि येभिरौक्षद् वृत्रहत्याय वज्री । ये कर्मणः क्रियमाणस्य मह्न ऋते कर्ममुदजायन्त देवाः ॥ (बृहदुक्थ वामदेव्य)
વજ્રધારી ઇન્દ્ર મરુદ્ સાથે મળી મહાન પૌરૂષયુક્ત કર્મ કરે છે. વૃત્રાદિ શત્રુઓને મારવા જળવૃષ્ટિ કરે છે. મરુદ્ ઇન્દ્રના સહાયક પુરવાર થાય છે.
મરુદ્ એટલે મેઘ, વાદળ. વાદળોની સહાયથી સૂર્ય પ્રકાશ ધરતી પર વર્ષા લાવવા નિમિત્ત બને છે. વળી, એમાં વિદ્યુતરૂપી વજ્રનું પણ મહત્વ છે. પહાડોની મોટી શીલાઓ વર્ષાધારાને અટકાવી નથી શકતી.
આદ્યાત્મિક રીતે જોઈએ તો ઇન્દ્ર એટલે મન, એમાં ઉદ્ભવતા વિચારો રૂપી મરુદો સહાયક બની, ચેતના તરંગો એટલે કે વજ્રથી શરીરની દુર્વૃત્તિઓરૂપી વૃત્રને સદ્ગુણોની વૃષ્ટિથી મારી હટાવે છે.
उ. २०.३.२ (१७९१) द्विता यो वृत्रहन्तमो विद इन्द्रः शतक्रतुः । उप नो हरिभिः सुतम् ॥ (सुकक्ष आङ्गिरस)
શત્રુનાશક અને સો કર્મ કરનાર ઇન્દ્ર બે રૂપોવાળા છે. તે અમારા દ્વારા શુદ્ધ કરાયેલ સોમનું પાન કરી ઘોડાઓ દ્વારા અહી આવે છે.
ઇન્દ્રનો અર્થ મેઘ કરીએ તો એનાથી વિશ્વના અનેક પ્રાકૃતિક ચક્રોનું સંચાલન થાય છે. એમાં સૂર્ય પ્રકાશ સહાયક બને છે, જેના કિરણો પૃથ્વી પર વિવિધ પૌષ્ટિક તત્વોનું વહન કરે છે.
અણુશક્તિરૂપી ઇન્દ્ર વિનાશ કરે છે એમ અનેક સકારાત્મક કાર્યો પણ કરે છે. એમાં સૂર્યની શક્તિ કે ફોટોન પ્રક્રિયાનું સંચાલન કરવા નિમિત્ત બને છે.
ઇન્દ્રરૂપી મનના કર્મોની બે મુખ્ય ધારાઓ છે, ૧) બુધ્ધિથી થતી પ્રવૃત્તિઓ ૨) અર્ધજાગ્રત મન દ્વારા થતી અનેક દેહધાર્મિક ક્રિયાઓ. આ મન સૂર્યકિરણોમાં રહેલ ફોટોનનો ઉપયોગ કરી ચેતાતંત્ર દ્વારા કાર્ય કરે છે.
उ. २०.४.११ (१८११) ते सुतासो विपश्चितः शुक्रा वायुमसृक्षत ॥ (जमदग्नि भार्गव)
એ મેધાવર્ધક સોમ શુદ્ધ થઈને વાયુ માટે પ્રગટ થાય છે.
સૂર્ય પ્રકાશમાં રહેલ ફોટોન પ્રવાહ વાતાવરણમાં ગળાઈને શુદ્ધ થાય છે, તેમાં રહેલાં ઘાતક કિરણો પૃથ્વીની સપાટી સુધી પહોંચતા નથી. જો વાતાવરણ ના હોત તો પ્રકાશનું વિખેરણ થઈ પ્રકાશિત આકાશ દેખાતું ના હોત! વળી, ઋષિ આ ફોટોન પ્રવાહને મેધા એટલે કે બુદ્ધિ વર્ધક કહે છે, જે મનરૂપી ઇન્દ્રને પુષ્ટ કરે છે.
उ. २०.६.३ (१८२४) तमोषधीर्दधिरे गर्भमृत्वियं तमापो अग्निं जनयन्त मातरः । तमित्समानं वनिनश्च वीरुधोऽन्तर्वतीश्च सुवते च विश्वहा ॥ (अरुण वैतहव्य)
ઋતુ અનુસાર ઉત્પન્ન આ અગ્નિને વનસ્પતિ ગર્ભમાં ધારણ કરે છે. જલધારાઓ એને માતા સમાન ઉત્પન્ન કરે છે. વનસ્પતિઓ એને ગર્ભરૂપમાં ધારણ કરી પ્રગટ કરે છે.
આજનું વિજ્ઞાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જાણે છે. આ પ્રક્રિયાને વર્ણવતા હોય એમ વૈદિક ઋષિ જ્યારે એમ કહે કે, વનસ્પતિ ગર્ભમાં અગ્નિ ધારણ કરે છે, તો ચોક્કસ આશ્ચર્ય થાય એમ છે! પછી, ઋષિ કહે છે કે, અગ્નિને જળપ્રવાહ માતાની જેમ ઉત્પન્ન કરે છે. આ જો જળનો પ્રવાહ હોય તો વળી એક નવું આશ્ચર્ય છે. વેદકાળમાં આધુનિક જળવિદ્યુતના યંત્રો હોય એમ માનવું પડે. અથવા, આ જળ પ્રવાહ કે ધારા એ ફોટોનનો પ્રવાહ છે એમ માનવું પડે.
उ. २०.६.५ (१८२६) यो जागार तमृचः कामयन्ते यो जागार तमुंसामानि यन्ति । यो जागार तमयँ सोम आह तवाहमस्मि सख्ये न्योकाः ॥ (अवत्सार काश्यप)
જે જાગૃત છે, એનાથી ઋચાઓ અપેક્ષા રાખે છે. જાગૃતને જ સામગાનનો લાભ મળે છે. જાગૃતને જ સામ કહે છે કે “હું તારા મિત્રભાવમાં જ રહું છું.”
આ સામ દ્વારા ઋષિ સામગાનનો લાભ કે સામગાનની ચૈતસિક અસરોનો લાભ મેળવવા કેવી સાધનાનો અભ્યાસ કરવો જોઈએ એ અંગે જણાવે છે. જે વ્યક્તિ જાગૃત રહીને સામગાન કરે કે સાંભળે અર્થાત સામગાન સાથે ઓતપ્રોત રહીને કે ધ્યાન દ્વારા સામગાન કરે તે વ્યક્તિ આ અસરોનો લાભ મેળવી શકે છે. આડકતરી રીતે મંત્રજાપ કે મંત્ર દ્વારા ધ્યાનની પધ્ધતિનો અહી નિર્દેશ છે.
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com