ચિરાગ પટેલ
उ. १८.२.९ (१६७७) अस्तावि मन्म पूर्व्यं ब्रह्मेन्द्राय वोचत । पूर्वीर्ऋतस्य बृहतीरनूषत स्तोतुर्मेधा असृक्षत ॥ (वालखिल्य / आयु काण्व)
સ્તુતિ કરવા યોગ્ય હે ઋત્વિજો! ઇન્દ્ર માટે સનાતન મનન કરેલા સ્તોત્રોનો પાઠ કરો. પૂર્વ યજ્ઞોના બૃહતી છંદમાં સામગાન કરો. એનાથી સ્તોતાઓની મેધા બુદ્ધિ ઉત્પન્ન થાય છે.
ઋષિ અહી સામગાન માટે છંદનું મહત્વ દર્શાવે છે. પ્રાચીન કાળથી પ્રસિદ્ધ બૃહતી છંદમાં સામગાન કરવાથી એ છંદ મગજની શક્તિને વધારે છે એમ ઋષિ કહે છે. વળી, એ માટે સ્તોતાએ સ્તોત્ર સ્મરણશક્તિના ઉપયોગથી ગાવાનો છે. આજના યુગમાં વિદ્યાર્થીઓને સ્મરણ શક્તિ ખિલવવા અને બુદ્ધિ શક્તિ સતેજ કરવા અનેક યુક્તિ-પ્રયુક્તિઓ શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ બૃહતી છંદમાં રચાયેલા મંત્રોનો મુખપાઠ કરી ગાવાનો પ્રયોગ કરવો જોઈએ, અને એના પરિણામો નોંધવા જોઈએ.
उ. १८.४.२ (१७००) पवमाना दिवस्पर्यन्तरिक्षादसृक्षत । पृथिव्या अधि सानवि ॥ (निध्रुवि काश्यप)
સંસ્કારિત થનારો દિવ્ય સોમ અંતરિક્ષથી ધરતીના ઊંચા ભાગમાં પ્રવાહિત થાય છે.
આ સામમાં સોમની દિવ્યતાનો ઋષિ નિર્દેશ કરે છે. સૂર્ય કિરણોમાં રહેલાં ફોટોનનો પ્રવાહ વાતાવરણના ઉપરના ભાગે વિખેરણ પામી પ્રવાહિત થાય છે. એ જ દિવ્ય સોમ છે.
उ. १८.४.११ (१७०९) य इदं प्रतिपप्रथे यज्ञस्य स्वरुत्तिरन् । ॠतूनुत्सृजते वशी ॥ (भरद्वाज बार्हस्पत्य)
જે અગ્નિ સંસારના કલ્યાણ માટે યજ્ઞમાં ઉપસ્થિત અવરોધોને દૂર કરે છે. જગતને પોતાના વશમાં રાખનાર તથા સર્વે ઋતુઓને બનાવનાર છે, એ જ એને વિસ્તાર આપનાર છે.
અગ્નિ યજ્ઞમાં પ્રજ્વલિત થાય એટલે સર્વે અશુદ્ધિઓનો નાશ થાય છે. વળી, એ યજ્ઞરૂપી જીવની નકારાત્મક ઊર્જાનો પણ નાશ કરે છે. અગ્નિથી જ સર્વે જીવોની દેહધાર્મિક ક્રિયાઓ થાય છે એમ સર્વે જડ પદાર્થોની વિવિધ ક્રિયાઓ પણ અગ્નિને આભારી છે. અગ્નિ એટલે કે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર ઋતુઓ જન્માવે છે. અગ્નિથી જ બ્રહ્માંડનો વિસ્તાર થયો છે. ઋષિના આ બધાં અવલોકન પ્રશંસાને પાત્ર છે.
उ. १९.१.८ (१७१८) आ मन्द्रैरिन्द्र हरिभिर्याहि मयूररोमभिः । मा त्वा के चिन्नि येमुरिन्न पाशिनोऽति धन्वेव ताँ इहि ॥ (विश्वामित्र गाथिन)
હે ઇન્દ્ર! આનંદદાયક, મોરપંખ જેવા વાળવાળા ઘોડા સહિત યજ્ઞમાં આવો. વ્યાધની જેમ માર્ગમાં જાળ બિછાવનાર આપને અટકાવી ના શકે, એમને રણની જેમ છોડીને આવો.
અહિ ઋષિ ઇન્દ્રના ઘોડાને મોરપંખના વાળવાળો કહે છે. એટલે કે, આકાશમાં ઉત્પન્ન થતું સાત રંગનું મેઘધનુષ અથવા સાત રંગના સૂર્ય કિરણો એ જાણે મેઘરૂપી ઇન્દ્રના ઘોડાના વાળ છે એવી ઋષિ કલ્પના કરે છે. રણ કે મરુ પ્રદેશમાં કોઈ રહેવાની ઈચ્છા ના કરે. એટલે, એવી રીતે ઇન્દ્રને સર્વે અવરોધો પાર કરી યજ્ઞમાં આવવા માટે ઋષિ કહે છે. અન્ય એક અર્થમાં એવું કહી શકાય કે, ઋષિ મનરૂપી ઇન્દ્રને યજ્ઞરૂપી જીવમાં માયાના પ્રલોભનોથી મુક્ત રહેવાનો નિર્દેશ કરે છે.
उ. १९.२.५ (१७२९) या दस्रा सिन्धुमातरा मनोतरा रयीणाम् । धिया देवा वसुविदा ॥ (प्रस्कर्व काण्व)
આ અશ્વિનીકુમારો શત્રુનાશક, નદીઓના ઉત્પત્તિકર્તા, વિવેકપૂર્વક કર્મ કરનારને સંપત્તિ આપનાર છે.
આ સામમાં નદીનો અર્થ પૃથ્વી પર વહેતી નદી કે આકાશમાં વિદ્યમાન આકાશગંગા કે શરીરમાં વહેતો કુંડલિની પ્રવાહ કરી શકાય એમ છે. કારણ કે, એના ઉત્પત્તિકર્તા અશ્વિનીકુમારો છે જે પ્રભાતમાં ઊગતો સૂર્ય કે એના રોગનાશક અને આરોગ્યપ્રદ કિરણો છે. સૂર્યનો એક અર્થ આત્મા પણ છે. વળી, જે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે છે તેને સંપત્તિ મળે એવી ભાવના ઋષિ વ્યક્ત કરે છે.
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com