બીરેન કોઠારી

ચિત્રકળા ખરું જોતાં કળાનો સૌથી આદિ પ્રકાર છે. છેક ગુફાયુગમાં ચિત્રો બનતાં હતાં એમ પુરવાર થયેલું છે. ચિત્રકળાને માણવા માટે અક્ષરજ્ઞાનની આવશ્યકતા નથી. આમ છતાં, આજે પરિસ્થિતિ એવી છે કે ચિત્રકળાની અપીલ સાર્વજનિક બની રહેવાને બદલે સીમિત બની રહી છે.

છબિકળાની શોધ થઈ ત્યાં સુધી ચિત્રકળાનો મુખ્ય હેતુ કોઈ વસ્તુના નિરૂપણનો અને એ રીતે પ્રત્યાયનનો હતો. એટલે કે કોઈ વસ્તુ કેવી છે એ દર્શાવવી હોય તો એના માટે એની આકૃતિ દોરવાથી હેતુ સરી જતો. આને કારણે સદીઓ સુધી ચિત્રકળા એટલે વસ્તુનું આબેહૂબ ચિત્રણ- એવી માન્યતા પ્રચલિત બની. આજે પણ સરેરાશ લોકો એવી ચિત્રકળાને જ ઊત્તમ માને છે કે જેમાં આબેહૂબ ચિત્રણ હોય. છબિકળાના આગમન પછી એ કામ કેમેરા થકી ઘણું ઝડપી થવા લાગ્યું. આમ છતાં, છેક એકવીસમી સદીના આરંભ સુધી કેમેરા પણ મર્યાદિત લોકોની પહોંચમાં હતા. સ્માર્ટફોનમાં કેમેરા આવતા થયા એ પછી દરેક વ્યક્તિ ફોટોગ્રાફર છે. એને કેમેરાની નવાઈ નથી રહી. એમાં બીજો કશો ખર્ચ કે વિલંબ નથી, એટલે એ અવનવા અખતરા કરે છે.

આવા માહોલમાં ચિત્રકળાનું સ્થાન ક્યાં?

આ સવાલ બહુ મહત્ત્વનો છે. ‘મોડર્ન આર્ટ’ તરીકે ઓળખાતી આધુનિક ચિત્રકળા પણ હવે જૂની થઈ. એ શાથી ‘મોડર્ન’ કહેવાઈ? રંગ અને સંયોજનમાં આ આધુનિક ચિત્રકળા થકી અનેક અવનવા અખતરા કરાયા, અને તે ‘આબેહૂબ’ના બંધનમાંથી મુક્ત થઈ એ તેનું મુખ્ય લક્ષણ ગણાવી શકાય. યુરોપ અનેકવિધ કળાપ્રવાહોનું કેન્‍દ્ર બની રહ્યું. ભારતમાં યુરોપીય શૈલીની અસર જોવા મળે છે, પણ એ ઘણી મોડી આવી. એ અગાઉ ભારતમાં અનેક પ્રાંત અને પ્રજાની પરંપરાગત શૈલી ચલણી હતી. આ શૈલીમાં કલાકારનું મહત્ત્વ ઓછું, શૈલીનાં લક્ષણોનું મહત્ત્વ વધુ હતું. એટલે કે ચિત્રકાર કોઈ પણ હોય, તે અમુકતમુક શૈલીનાં લક્ષણો અનુસાર જ ચિત્ર બનાવે. એ રીતે આધુનિક ભારતીય ચિત્રકળાની ઓળખ ઘણી મોડી, વીસમી સદીના મધ્યમાં અને ઉત્તરાર્ધમાં ઊભી થઈ. આધુનિક ભારતીય ચિત્રકળાને ઓળખ આપવામાં અનેક ચિત્રકારોનાં નામ લઈ શકાય. આમાંના એક સૌથી મહત્ત્વના ચિત્રકાર હતા ભૂપેન ખખ્ખર. સરદાર પટેલ યુનિવર્સિટીની અતિ પ્રતિષ્ઠિત ‘જ્ઞાનવિજ્ઞાન શ્રેણી’ના ‘દૃશ્યકળા’ ગ્રંથમાં તેમના વિશે લખ્યું છે: ‘નોંધપાત્ર સ્વયંશિક્ષિત કળાકારોમાં રવિ વર્મા અને રવીન્દ્રનાથ પછી ભૂપેન ખખ્ખર આવે છે. પોપ કળાનું સંવેદન પ્રગટાવનાર તેઓ પ્રથમ ભારતીય કળાકાર છે. આપણા ભદ્રવર્ગે સસ્તાં ગણેલાં, ન સ્વીકારેલાં તત્વો તરફ આકર્ષાઈ ભૂપેન ખખ્ખર ચિત્રો કરવા માંડે છે અને એમ આપણી ભદ્રમાર્ગીય માન્યતાઓના મૂળમાં જ ઘા કરે છે. સાથોસાથ એવી માન્યતાઓની હાંસી પણ ઉડાવે છે.’ આમ, આધુનિક ભારતીય ચિત્રકળામાં ભૂપેન ખખ્ખરે પોતાની આગવી કહી શકાય એવી ચિત્રશૈલી નીપજાવી અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આધુનિક ભારતીય ચિત્રકળાની ઓળખ ઊભી કરી.

***

ભરૂચના અમરીશભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા ૨૦૧૬માં મને ભૂપેન ખ્ખ્ખરની જીવનકથા લખવાનું કામ સોંપવામાં આવ્યું. નવ વરસના દીર્ઘ અંતરાલ પછી ૩૦ માર્ચ, ૨૦૨૫ના રોજ એ પુસ્તકનું વિમોચન વડોદરા ખાતે યોજાયું.

(ભૂપેન ખખ્ખર,  તસવીર: જ્યોતિ ભટ્ટ)

ભૂપેન ખખ્ખરની જીવનકથાના આલેખન દરમિયાન તેમનાં ચીતરેલાં અનેક ચિત્રોમાંથી પસાર થવાનું બન્યું, તેમની શૈલીનો, એમાં પડઘાતી તેમની પ્રકૃતિનો પરિચય થતો ગયો. તેમનાં ચિત્રો થકી તેમનું મનોજગત પણ ઊઘડતું ગયું. ભૂપેનની જીવનસફર જેટલી રસપ્રદ છે એટલાં જ રસપ્રદ તેમનાં ચિત્રો જણાયાં.

આમ, પુસ્તક માટે કરેલા કામ થકી વિચાર આવ્યો આ શ્રેણી શરૂ કરવાનો. અગાઉ ફેસબુક પર કેટલાક ચિત્રોનો આસ્વાદ કરાવેલો હતો, જે મારા બ્લૉગ પર પણ સુલભ છે. અહીં એની એ સામગ્રીને સીધેસીધી મૂકવાને બદલે વધુ વિગતે સમાવવાનો ઉપક્રમ છે. આમ, આ શ્રેણીમાં ભૂપેન ખખ્ખરનાં વિવિધ ચિત્રો અને એમની શૈલીનો આસ્વાદ કરાવવામાં આવશે.


દર મહિનાના બીજા સોમવારે ભૂપેનના ચિત્રોની આ શ્રેણી ‘ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ’નું પ્રકાશન ‘વેબગુર્જરી’ પર થશે.


(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)