નલિની નાવરેકર

ઘરમાં આપણે સહુ રહીએ છીએ. પછી તે સાધુસંત હોય કે સામાન્ય માણસ, દરેકને માથા ઉપર છત તો જરૂરી જ હોય છે. મહારાષ્ટ્રના એક સંત, તે રામદાસ સ્વામી ! ફરતા રહેતા. મહારાષ્ટ્રમાં અને દેશભરમાં. તેઓ જ્યાં પણ રહેતા, સવારે ઊઠીને પહેલાં પોતાના નિવાસની સફાઈ કરતા હતા.

શ્રી દાંડેકર લિખિત તેમના જીવનની આ કેટલીક પંક્તિઓ જુઓ:

શરયુ નદીના તટે સ્વામીએ એક ઝૂંપડી બનાવી. સામે નાનકડું આંગણું હતું. રોજ ઝાડુ મારીને તે બધું સાફ-સુથરું રાખતા. અઠવાડિયામાં એક વાર લીંપણ પણ થતું.

પડોશી કહેતા, “જ્યારે સંસાર છાડીને આવ્યા છો, તો આટલું લીંપણ-ગુંથણ શા માટે કરો છો ?”

“આપણું શરીર ભગવાનનું મંદિર છે. તેઓ પોતે ત્યાં બિરાજમાન છે. અને તે જ્યાં રહે છે તે કુટિર તો દર્શનીય હોવી જોઈએ” – સ્વામીજીનો જવાબ આવો હતો.

પડોશી તાપસ કહેતા, “અમને તમારું તત્ત્વજ્ઞાન સમજાતું નથી પરંતુ તમારા આંગણામાં બેસીને જપજાપ કરવાનું મન જરૂર થાય છે !”

આ છે સફાઈનો મહિમા. જ્યાં સફાઈ હોય છે, ત્યાં જપજાપ, ધ્યાન, પ્રાર્થના, અધ્યયન, અને અન્ય પોતાનું જે પણ કામ હોય છે તે કામ કરવામાં મન લાગે છે. કારણ કે આવા વાતાવરણમાં મન પ્રસન્ન રહે છે. મન પણ સાફ હોય છે. મનમાં શાંતિ રહે છે.

ગરીબોનાં ઘર તેમજ સાધુ-સંન્યાસીની કુટી અન્ય ઘરોની સરખામણીમાં વધુ સાફ હોય છે. તેનું મુખ્ય કારણ છે અસંગ્રહ. ‘અભંગવ્રત’માં વિનોબાજીએ માર્મિક રીતે કહ્યું છે, ‘वस्तुंचा संग्रह कड़ी अडगळ’ (વસ્તુઓનો સંગ્રહ અડચણ-અસુવિધાનું નિર્માણ કરે છે). જ્યાં સંગ્રહ ઓછો ત્યાં સફાઈ રાખવી સહેલી હોય છે. આપણો અનુભવ છે કે જ્યાં વિચારપૂર્વક ઓછામાં ઓછો સંગ્રહ હોય છે ત્યાં એક જુદા જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. આપણું ઘર જુદી જુદી ઘણી બધી વસ્તુઓથી ભરેલું હોય છે. ત્યાં સ્વચ્છતા હોવા છતાં એટલી શાંતિનો અનુભવ નથી થતો.

જીવનની જરૂરિયાતોને માટે કેટલીક વસ્તુઓનો સંગ્રહ તો થવાનો જ છે. કોઈનો વધુ તો કોઈનો ઓછો. સેવા તેમજ સુવિધા માટે સકારણ સંગ્રહ કરવો એ યોગ્ય છે. પરંતુ સેવા અને સુવિધા ‘ને નામે’ સંગ્રહ વધારતા જવો એ યોગ્ય નથી.

વિનોબાજી સફાઈને ધ્યાનયોગ કહેતા હતા. સ્વચ્છતા એટલે ‘મૂળસ્વરૂપ’ પ્રગટ કરવું તે છે. કોઈ વસ્તુ પર, સ્થાન પર ચઢેલું અસ્વચ્છતાનું થર દૂર કરીએ છીએ ત્યારે એ વસ્તુનું, સ્થાનનું મૂળસ્વરૂપ પ્રગટ થાય છે.

રસોડું  

ઘરના જુદા જુદા વિભાગ હોય છે. જેમાંનું એક મુખ્ય છે રસોડું તેમજ ભોજનનો વિભાગ. રસોડું રોજ સાફ કરવું જરૂરી છે – ત્યાં કચરા પોતું કરવું તેમજ પાણી અને ખોરાક ઢાંકીને રાખવો જોઈએ – આ બધું આપણે જાણીએ છીએ. પરંતુ ક્યારેક ક્યારેક આ બાબતો આપણે ભૂલી પણ જઈએ છીએ. રસોડાની સફાઈ માટેના કેટલાક નાના પરંતુ મહત્ત્વના નિયમો આપણે જોઈશું.

  •       પીરસતી વખતે જ્યારે ઢાંકણું નીચે મૂકીએ છીએ ત્યારે તેને ઊંધું મૂકીએ.
  •       અનાજ, ખાવાની વસ્તુઓને કદી પણ ઓળંગવું ન જોઈએ. આપણા પગ સાથે ચોંટેલા સૂક્ષ્મકણો ખાવાની વસ્તુઓમાં પડી શકે છે. અનાજને આપણે પૂર્ણબ્રહ્મ માનીએ છીએ, તો તેને માટે પૂજ્યભાવ રાખીએ.
  •       જમવાના વાસણની જગ્યા પર કોગળો ન કરીએ. ત્યાં હાથ-પગ પણ ન ધોઈએ. બાથરૂમ તથા બેસીનમાં જમવાના વાસણ માંજવા જોઈએ નહીં.
  •       એકબીજાનું એંઠું ન ખાઈએ. આપણા પ્રાચીન ગ્રંથોમાં લખેલી આવી વાતોની આપણે મશ્કરી કરીએ છીએ. પરંતુ એ વાત આપણને શીખવવા માટે નવી નવી માંદગીઓએ આવવું પડે છે.

બેઠક ઘર

આ ઓરડા (ડ્રોઈંગ રૂમ)ને વધુમાં વધુ સાફ રાખવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. પરંતુ કબાટોમાં, ગાદીની નીચે, ખૂણા-ખાંચરામાં, પલંગની નીચે અસ્વચ્છતા રહી જાય છે, ત્યાં ધ્યાન આપવું જરૂરી છે.

કબાટ, ખાટલા જેવી વસ્તુઓ દીવાલને અડેલીને ન રાખવી જોઈએ તેમજ જમીનથી થોડી ઊંચી રાખવી જોઈએ જેથી સફાઈ કરવામાં સરળતા રહે.

બાથરૂમ તેમજ શૌચાલય

બાથરૂમ તેમજ પાયખાનાની સફાઈ રોજ થવી જોઈએ. વાપર્યા પછી જો આ બંને કે એક પણ ગંદું થયું હોય તો તેને તરત સાફ કરીએ. ઘરનો દરેક સભ્ય જો આમ કરશે તો પછી તેની ખાસ સફાઈ કરવાની જરૂર રહેશે જ નહીં.

નાહતી વખતે પોતાનાં કપડાં ધોઈ નાંખવાને ગાંધીજી નાહવાનો જ ભાગ ગણતા હતા. અને તેઓ હંમેશ તેમ કરતા પણ હતા. તેઓ કહેતા, પાયખાનું એવું હોવું જોઈએ કે ત્યાં બેસીને પોથી વાંચવામાં પણ ખચકાટ ન થાય. આમ કરીને તેઓ આપણને એ કહેવા માંગતા હતા કે ‘પાયખાનું કેટલું સાફ હોવું જોઈએ.’ એમના કહેવાનો ભાવાર્થ ‘પાયખાનામાં પોથી વાંચવાનો’ કદાપિ ન હતો.

પાયખાના તેમજ બાથરૂમ સાફ કરવા માટે આજકાલ જે કેમિકલ વાપરવામાં આવે છે તે હાનિકારક હોય છે. સાથે સાથે પાયખાનાના મળ-મૂત્ર અને બાથરૂમનું ગંદું પાણી નદીઓમાં જઈને તેને ગંદી અને પ્રદૂષિત કરે છે તે પણ ખૂબ જ જોખમકારક છે. પાયખાનાની કેટલીક વૈકલ્પિક ડીઝાઈનો ઉપલબ્ધ છે જેને કારણે નદીઓનાં પાણી પ્રદૂષિત થતાં નથી અને તેમાંથી સોનખાદ મળે છે. શું આપણી ભૂમાતા માટે આપણે આટલું પણ ન કરી શકીએ કે આપણે સોનખાદ બનાવીને તેના ઋણમાંથી મુક્ત થઈએ ? અને નદીઓને પણ સુરક્ષિત રાખીએ ?

પ્લાસ્ટિકનો પ્રશ્ર્ન

પ્લાસ્ટિક આજે વિશ્ર્વવ્યાપી તેમજ વિકરાળ પ્રશ્ર્ન બની ગયો છે. તેનું નિરાકરણ હવે આપણા હાથ બહારની વસ્તુ બની રહી છે. પરંતુ આપણે એટલું તો વિચારી શકીએ કે શું આપણે કારણે આ સમસ્યા વધી તો નથી રહીને ? બજારમાંથી કેરીબૅગ નહીં લાવવી જોઈએ – બસ એટલી મર્યાદિત વાત આપણે જાણીએ છીએ. તેનું પણ પાલન કરીએ જ છીએ એવું નથી. આના સિવાય આપણા ઘરમાં પ્લાસ્ટિકની કેટલી બધી વસ્તુઓ હોય છે જેનો સહજતાથી વિકલ્પ ઉપલબ્ધ છે. જેમ કે ડોલ, મગ, ટબ, ઝાડુ, ટોપલીઓ, ખુરશી, ડબ્બા, બાટલીઓ, રમકડાં વગેરે. આવી બધી વસ્તુઓ વાપરીને આપણે પ્લાસ્ટિકનો કચરો વધારતા રહીએ છીએ. સાથે સાથે આ વસ્તુઓના સંપર્કને કારણે આપણા આરોગ્ય ઉપર જોખમ વધે છે તે વળી નફામાં.

છાણની મદદ

દેશી ગાયનું છાણ આપણને ઘરની સફાઈમાં ખૂબ મદદ કરે છે. આપણું આંગણું અને ઘરની જમીન છાણથી લીંપેલી હોય તો એનો એક જુદો જ અનુભવ તમને થશે. છાણમાં સ્વચ્છતા કરવાના ગુણોની સાથે સાથે અન્ય ગુણો પણ છે. તે ઠંડીમાં ગરમી આપે છે અને ગરમીમાં ઠંડક. આપણા દેશમાં તો પરંપરાથી છાણનો ઉપયોગ ઘરોમાં થતો આવ્યો છે અને તે અંગેનો અનુભવ પણ છે અને અભ્યાસ પણ છે. રશિયા, જર્મની જેવા કેટલાક દેશોમાં આ બાબતે રીસર્ચ પણ થયું છે.

પરંતુ આજે તો બધાં ઘરો સિમેંટનાં બની રહ્યાં છે. છાણના લીંપણનું ભાગ્ય સહુને નથી મળતું. કેટલાક લોકોએ આ અંગે કેટલાક પ્રયોગો કર્યા છે. ઘરની જમીન પર સિમેંટનું થોડું ખરબચડું પ્લાસ્ટર કરીને તેના ઉપર લીંપણ કરે છે. તો કોઈએ વળી માટીની જમીનને ઠોકીને તૈયાર કરી અને તેના ઉપર થોડું સિમેંટ નાખીને ટીપ્યું. ત્યારબાદ તેના ઉપર છાણથી લીંપણ કર્યું.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

દરેક વસ્તુની જગ્યા નક્કી હોય અને દરેક વસ્તુને તેની જગ્યાએ મૂકવામાં આવે. કેટલાંક ઘરોમાં અઠવાડિયામાં એક વાર બધા મળીને આખા ઘરની સફાઈ કરે છે. તેમનું ઘર હંમેશાં સાફ-સુથરું રહે છે. આ અનુકરણીય બાબત છે. ઘણા વળી ઘરના જુદાજુદા ભાગની સફાઈ વારાફરતી કરે છે. આ પણ સારી બાબત છે. સફાઈ સામૂહિક કામ છે. તેથી ઘરના સહુ સભ્યોએ તેમાં ભાગ લેવો જોઈએ. બાળકોને પણ ટેવ પાડવી જોઈએ. નહીં તો એક વ્યક્તિ પર તેનો ભાર આવી જાય છે.

વૃદ્ધ અને બીમાર વ્યક્તિનો ઓરડો સાફ કરવો એ પણ મોટી સેવા છે. કોઈ કારણસર, વધુ વ્યસ્ત હોવાને કારણે જે લોકો ઘરની સફાઈ નથી રાખી શકતા, તેમને મદદની જરૂર હોય છે. તે કરવી જોઈએ.

આપણું આખુંયે ઘર જ્યારે ખરેખર સાફ હોય અને સાથે સાથે ઘરમાં સ્નેહ, મેળ-મિલાપનું વાતાવરણ હોય તે ઘરમાં પ્રસન્નતાનો અનુભવ થશે.

ગીતાના છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગ અંગે એકાગ્રતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. તેને માટે શું કરવું જોઈએ, ક્યાં બેસવું, કેવી રીતે બેસવું એ બધું કહ્યું છે. એક શ્લોક છે :

शुचौ देशे प्रतिष्ठाव्य स्थिरमानसनमात्मनः ।

‘ पवित्र स्थान में बैठना ।’ વિનોબાજીએ ગીતાઈ ચિંતનિકામાં આનો ઊંડાણપૂર્વક અને સુંદર અર્થ કર્યો છે. તેઓ કહે છે, પવિત્ર એટલે સ્વચ્છ, નિર્મળ અને જ્યાં સહચારી ભાવન પાવન હોય એવું સ્થાન ! દરેક ઘરમાં ધ્યાનનું, ભક્તિનું, વિકાર-મુક્તિનું એક સ્થાન હોવું જોઈએ.’

જેને આપણે દેવઘર કહીએ કે પ્રાર્થનાઘર કહીએ, ધ્યાનમંદિર કહીએ – જે પણ નામ આપીએ. દરેક ઘરમાં એક સ્થાન હોય જ્યાં સહુ મળીને, સમૂહમાં અથવા વ્યક્તિગત ઉપાસના કરે.


સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ માર્ચ, ૨૦૨૪