ફરી કુદરતને ખોળે
જગત કીનખાબવાલા
ઘર ચકલીને જોઈ ન હોય તેવું બને પણ તેને જોઈને ઓળખે નહિ તેવું ન બને. લગભગ આખા વિશ્વમાં જોવા મળતી ચકલી ઘણા વર્ષોથી દુર્લભ થઇ ગઈ છે. એક સમયે કુટુંબનો ભાગ ગણાતી ચકલીથી માનવી રિસાઈ ગયો છે અને ચકલીને નામશેષ થવા દેવા જઈ રહ્યો છે.

કદ: ૬ ઇંચ – ૧૫ સે.મી, આયુષ્ય: ૬ વર્ષ સુધી, ખોરાક: ૨ થી ૪ ગ્રામ, ઈંડા: ૪ થી ૫, રંગ: માદા: ગ્રે કલર – નર: ચમકીલો ગ્રે અને કથ્થાઈ પટ્ટા, વજન: ૩૦ ગ્રામ સુધી
ના, તેને નામશેષ ન થવા દેવા માટે ભેખ ધરીને બેઠેલા લોકો ઘણી મહેનત કરી રહયા છે. જયાં પહેલા ચકલી દેખાતી બંધ થઇ ગઈ હતી ત્યાં આજે ચકલી જોવા મળી પણ રહી છે પરંતુ આટલા ઓછા લોકોની સરાહનીય કામગીરીમાંથી શીખી, સાથ આપીને દરેક જગ્યાએ ભૂતકાળની જેમ ચકલીની વસ્તી વધારવી ઘણી અઘરી નથી.
દરેક માનવી પોતાનું યોગદાન આપે અને જે લોકો કામ કરે છે તેને સાથ આપે તો ચકલીની વસ્તી વધારવી મુશ્કેલ વાત નથી. તેના માટે ધીરજ રાખી નિયમિત રીતે થોડો સમય અને મામૂલી ખર્ચ કરીએ તો હાલ જે ચકલી ઘણી બધી જગ્યાએ જોવા મળતી થઇ છે તે રીતે બધે તે જોવા મળી શકે છે.
સમાજ દ્વારા સામુહિક રીતે મહેનતની જરૂર છે. બસ માણસની દ્રઢ ઈચ્છાશક્તિ, બીજા જે લોકો ચકલી બચાવો અભિયાનમાં કામ કરે છે તેમને સહકાર આપે, પોતાની આસપાસ શક્ય હોય તેટલા માળા લગાવે, લગાવેલા માળાનું જરૂર પડે તો નાનું – મોટું ધ્યાન રાખે, પોતાના ઘરની આસપાસ દાણા (બાજરી ૫૦%- ચોખા ૨૫% – કાંગ- ૨૫% અને અનુકૂળ હોય તો ૨૫% પૌષ્ટિક કાંગ ઉમેરી ૨૫% બાજરી ૨૫% કરવી) અને પાણી રાખે જેથી નહિવત ખર્ચે પક્ષીઓને પાયાની જરૂરિયાત મળી રહે. જુના પેકિંગના બોક્સમાંથી માળા બનાવી મુકવા જોઈએ. આ ખુબ નાની દેખાતી જાગૃતતા ઘણું મોટું કામ કરી આપશે.
આપણે દર વર્ષે ૨૦ માર્ચ વિશ્વચકલી દિવસ ઉજવીને ચકલીને યાદ નહિ કરવી પડે.આપણી સવાર સુધારશે.
માનવી જો આટલું યોગદાન આપે તો ચકલી નામશેષ નહિ થાય તે ખાતરીની વાત છે. આ વિશ્વાસ ચકલીની સંખ્યા વધારવાના આજ સુધીના પ્રયત્નની સફળતાના આધારે આશા જગાડે છે. આવા માનવીય પ્રયાસોમાં જાગ્રૃત બની ક્લાઈમેટ ચેઇન્જના સખતાઈ ભર્યા પ્રશ્નોનો સામનો કરવામાં રૂઝ આપનાર , સુધારનાર પ્રયત્નોમાં પ્રતિભાવશીલ આગવું યોગદાન દરેકે આપવું રહ્યું.
પરંતુ આજના સમયમાં ચકલી અને બીજા સામાન્ય રીતે માનવીની આસપાસ વસતા પક્ષીઓ માટે માળો ગૂંથવા જગ્યા, માળામાં ભરવા માટે ઘાસ અને તણખણા, બેસવા અને આરામ કરવા માટે તેમજ કુદરતી ખોરાક માટે છોડ અને વૃક્ષ નથી મળતા. અસહ્ય ગરમીમાં પીવાનું પાણી કે ખોરાક માટે દાણા નથી મળતા.
જે મળે છે તેમાં બગીચા અને ખેતરમાં જંતુનાશક/ પેસ્ટીસાઇડથી મરેલા જીવલેણ જીવડાં, કોંક્રિટના જંગલ જેમાં જીવવું દોહ્યલું થઇ જાય છે. સફાઈ માટે તોડી પડાતા માંડમાંડ સફળ થયેલા માળાથી કમોત મળે છે. સાથેસાથે ખુલ્લામાં રહેતા પક્ષીઓને અવાજ અને હવાનું પ્રદુષણ ભારે તકલીફ આપે છે.
માળો બાંધવા કોઈ જગ્યા ન મળતી હોઈ, કોઈપણ ભયજનક જગ્યાએ માળો બનાવી લેવા માટે મજબુર થઇ જાય છે અને ચારરસ્તા વચ્ચે, ભારે ગરમીમાં ટ્રાફિકની સિગ્નલ લાઇટની બખોલમાં માળા જોવા મળે છે. તેવી રીતે હાઇવે ઉપર માથાના ગરમીના રક્ષણ માટે વેચાતી કેપની બખોલમાં ઘાસ – તણખણા ભરી માળા બનાવેલા જોવા મળે છે જે જોઈને મનમાં ગ્લાનિ ઉભી થઇ જાય છે.
આધુનિક સમયમાં માનવીની પાસે પક્ષી વિશેની સામાન્ય માહિતી પણ નથી હોતી અને માનવી સહઅસ્તિત્વમા જીવતાં બધા જીવ માટે સંવેદનશીલતા ઘુમાવી બેઠો છે.
વરસોવરસ માનવી વધારે અને વધારે ભૌતિકવાદ તરફ દોડી રહ્યો છે. સર્વત્ર વિકાસની ડોટ લાગેલી છે અને માનવી પ્રકૃતિથી વિમુખ થઇ ગયો છે. આજના સમયમાં સર્વત્ર દુઃખદ પરિસ્થિતિ ઉભી થઇ છે. ભાગદોડ ભર્યા જીવનમાં પોતાને કે કુટુંબ સાથે જીવવા માટે સમય નથી રહેતો તો તેવા સંજોગોમાં માનવીની પોતાની આસપાસના બધા જીવ માટે ક્યાંથી સમય કાઢે કે ધ્યાન આપે.
પ્રકૃતિની રચનામાં દરેક જીવ પોતાનું એક આગવું સ્થાન અને પોતાની આગવી ભૂમિકા લઈને જન્મેલા છે. વિકાસ સાથે કુદરતની સંપૂર્ણ શૃંખલા ખોરવાઈ ગઈ છે જેના કારણે અનેક પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે.
ચકલી જેવા જીવ ઈયળ, જીવાત, મચ્છરના ઈંડા વગેરે ખાઈ જાય છે અને હાલના સમયમાં ચકલી જેવા જીવ ન હોવાના કારણે મચ્છર વગેરેના શરીરમાં રહેતા વાયરસ સક્ષમ થઇ બધા માટે અનેક રોગ ઉભા કરી રહયા છે. બાયોડાઇવર્સીટી વિજ્ઞાન કહે છે કે જો તમારી આસપાસ ચકલી ન હોય તો તમે એક તંદુરસ્ત વાતાવરણમાં/ ઈકો સિસ્ટમમાં નથી રહેતા!
દિવસે દિવસે એક નવો પ્રશ્ન વિકરાળ બની રહ્યો છે. ચકલીની જેવીજ પરિસ્થિતિ બીજા બધા પક્ષીની પણ થઇ રહી છે અને કબૂતર સિવાય બધા પક્ષીની સંખ્યા ઘટી રહી છે. બીજા પક્ષીઓને પણ આધુનિક સિમેન્ટ કોન્ટ્રિકના જંગલમાં જીવવું દોહ્યલું થઇ ગયું છે. તેમને માળો, માળાના ઘાસ તેમજ તણખણા અને દાણા – પાણી વગેરે પાયાની જરૂરિયાત મળી રહયા નથી .
ચકલી માટે લગાવેલા માળામાં બીજા નાના પક્ષી પોતાનો માળો બનાવી રહયા છે. ટપસીયું/ Indian Silverbill, દૈયડ/ Magpie Robin, બુલબુલ, દેવ ચકલી/ Indian Robin, કાબર/ Myna વગેરે નિયમિત રીતે ચકલી માટે લગાવેલો માળો ઉપયોગમાં લેતા જોવા મળે છે અને તે સંજોગોમાં ચકલીને માટે મુકેલો માળો ચકલીને નથી મળતો અને તો હવે કરવું શું?
જે લોકો ચકલીની સંખ્યા વધારવા માટે કામ કરી રહયા છે તેઓ બીજા પક્ષીઓ માટે પણ જરૂરી માપના વધારે માળા મૂકી રહયા છે જે આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે.
ચકલીને નામશેષ થતી અટકાવવા માટે અને પર્યાવરણના જતન માટે પ્રજામાં સામુહિક ક્લચર વિકસાવવું પડે. પર્યાવરણથી અલિપ્ત રહી જીવન જીવવું શક્ય નથી.
સભાનાવસ્થામાં સ્વ, સર્વે અને સદાય માટે આજની શિક્ષિત પ્રજાને જાગૃત થવાની જરૂર છે.
*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
*Love – Learn – Conserve*
લેખક:
જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214