વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪ # આડવાત (૨)

    જીવનની અર્થવ્યવસ્થાનો

     વ્યાવહારિક અમલ

    આડવાત ()

    નાણાકીય સંપત્તિની ભ્રામકતા

    દિવ્યભાષ સી. અંજારીઆ

    કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને  બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં છે.

    આ પહેલાં આપણે # ૪.૧ માં કમાણી, # ૪.૨ માં ખર્ચ , # ૪.૩માં બચત અને # ૪.૪ માં રોકાણ એમ ચાર મહત્વનાં પાસાંઓની જુદી જુદી લાક્ષણિકતાઓ વિશે વાત કરી ગયાં.

    એ પછી # ૪.૫માં ઉપાડની વાત કરતાં કરતાં આપણે થોડી આડવાત કરી લેવી જરૂરી જણાઈ. તે પેટે ગયા મણકામાં આપણે નાણા અને સંપત્તિનાં મહત્ત્વની સમજ સ્પષ્ટ કરી હતી. હવે, આજના મણકામાં આપણે નાણાકીય સંપત્તિની ભ્રામકતાની સમજ સ્પષ્ટ કરી લઈશું.

    બચત કરેલ, રોકાણ કરેલ કે સંગ્રહ કરેલ નાણાંને આપણે સંપત્તિ કહીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો, ખર્ચ ન કરીને જે નાણા બચાવીએ, કે રોકાણ કરીએ, તે સંપત્તિમાં રૂપાંતરિત થયેલ ગણાય.

    અગાઊ આપણે જોયું હતું કે નાણાનું મહત્ત્વ ત્રણ દૄષ્ટિએ છેઃ એક, જો તેના વડે ચીજવસ્તુઓ કે સેવાઓ ખરીદી શકાય. બીજું, જો તે વધારાની આવક ઊભી કરવામાં મદદરૂપ બની શકે. અને ત્રીજું, આપણને જ્યારે જ્યારે જરૂર પડે, કે જ્યારે આપણે ઉપાડ કરવો હોય, ત્યારે તે પુરતી ખરીદ શક્તિ પુરી પાડવા સક્ષમ બની શકે. કડવી વાસ્તવિકતા એ છે કે આ ત્રણ મહત્ત્વનાં પાસાંઓના સંદર્ભમાં જ નાણાકીય સંપત્તિ ભ્રામક નીવડી શકે છે.

    ૧. આપણે જ્યારે સંપત્તિનું ઉપાર્જન કરીએ છીએ ત્યારે તેને ભાવિ જરૂરિયાતો પુરી કરવા માટે આવશ્યક ચીજવસ્તુ કે સેવા ખરીદવા માટેની કે નવી અસ્કયામતો ઊભી કરવા માટેનું સક્ષમ માધ્યમ તરીકે ગણતરીમાં લીધેલ હોય છે. પરંતુ ફુગાવાને કારણ વધતી રહેતી ભાવ સપાટી એ નણાકીય અર્થવ્યવસ્થાની વાસ્તવિકતા છે. આવો ભાવ વધારો એટલી હદે થાય કે ભૂતકાળમાં ઊભી કરેલી સંપત્તિનું વધેલા ભાવોને કારણે દેખીતું મૂલ્ય વધ્યું હોય પણ આપણી ભાવિ જરૂરિયાતો માટેની ખરીદી માટે પર્યાપ્ત પડે એટલે સંપત્તિનાં મૂલ્યમાં થયેલો દેખીતો વધારો ભ્રામક નીવડે છે. વધેલા ભાવોએ ઘટેલી ખરીદ શક્તિની પરિસ્થિતિને અર્થશાસ્ત્રની પરિભાષામાં નાણાનાં મૂલ્યમાં અવમૂલ્યન કહે છે.    આમ, એ સમયે ઊભી કરેલ સંપત્તિની ઉપયોગિતા આપણી ભાવિ જરૂરિયાત પુરી કરી શકે એટલી ખરીદ શક્તિ બાબતે ભ્રમ પરવડે છે.

    અર્થશાસ્રીઓ જેને ભાવવધારાનો ફુગાવો કહે છે તે છૂપો ચોર છે. આ છૂપો ચોર આપણી ખરીદ શક્તિ અને સંપત્તિનાં વાસ્તવિક મૂલ્યમાં ઘટાડા રૂપે ધાડ પાડતો રહે છે. એક સમયે મૅક્ડૉનલ્ડનું બિગ મૅક જે બે ડોલરમાં મળતું તે આજે પાંચ ડૉલરમાં મળે છે. આ રોજબરોજનાં ઉદાહરણનો આધાર લઈને ધ ઈકોનોમિસ્ટ સામયિક  તો હવે અલગ અલગ દેશો અને અર્થંતંત્રોનાં નાણાનાં સાપેક્ષ મૂલ્ય અને ભાવ વધારાનો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત બિગ મૅક સૂચકાંક રજૂ કરે છે. બિગ મૅકની કિંમત જુદા જુદા દેશોમાં અલગ હોવા પાછળ દરેક દેશની અર્થવ્યવસ્થા એ ભુતકાળમાં અનુભવેલ ફુગાવાનો ઇતિહાસ કારણભૂત રહી શકે છે. ભૂતકાળનો ફુગાવો એવું પરિબળ છે જે એ દેશનાં લોકોની સાપેક્ષ ખરીદ શક્તિ જેવાં આર્થિક કારણો પર અસર કરે છે. દરેક અર્થવ્યવસ્થાનાં, અને એ પ્રદેશનાં લોકોની ખરીદ શક્તિનાં, ઘટતાં જતાં મૂલ્ય એ આજની વાસ્તવિકતા છે. હકીકત એ છે કે જે વાત બિગ મૅકનાં ઉદાહરણને લાગુ પડે છે તે આપણી રોજબરોજના વપરાશની ચીજવસ્તુઓ તેમ જ અન્ય સંપત્તિઓને એટલી જ લાગુ પડે છે.

    દરેક સ્તરની વ્યક્તિ માટે આજે ઘરનું ઘર કરવું દોહ્યલું બનતું જાય છે. સામાન્ય લોકોનાં જીવનમાં ખાધાખોરાકીનો  ખર્ચો જ એટલો વધી ગયો છે કે તેમની અન્ય જરૂરિયાતો માટે જ તેમની આવક માંડ પુરી પડે. એટલે, એ સંજોગોમાં બચત કે ભાવિ જરૂરિયાતો માટે રોકાણો તો બહુ દુરની વાત કદાચ બની રહે, પણ મોજશોખનો તો વિચાર કરતાં કંપારી છૂટી જાય ! આર્થિક  દૃષ્ટિએ  સધ્ધર વર્ગને તેમની સંપત્તિ પરની ફુગાવાની અસરો દેખીતી રીતે ભલે ચિંતા ન કરાવે, પણ વિચાર કરતાં જ મુકી જ દે છે.

    જ્યારે બહુ લોકો પાસે વધારે નાણા આવે ત્યારે તેઓ તેમનો આ નાણા પુરવઠો સિમિત માત્રામાં ઉપલબ્ધ ચીજવસ્તુઓની ખરીદીમાં વાપરે છે. ચીજવસ્તુઓની ઉપલબ્ધી ઓછી હોવાથી પહેલાં જેટલી જ માત્રામાં એ ચીજવસ્તુ ખરીદવા માટે વધારે નાણા ધરાવતાં લોકો વધારેને વધારે ભાવ આપવા તૈયાર થતાં જાય છે  પરિણામે, નાણાની વાસ્તવિક ખરીદ શક્તિ ઘટતી જાય છે અને સાથે સાથે નાણાનાં મૂલ્યમાં પણ ઘટાડો થતો જાય છે. નાણાનું સાપેક્ષ મૂલ્ય જેટલી હદે ઘટે એટલી હદે આપણી સંપત્તિનું પણ અવમુલ્યન થતું જાય.

    ૨. અંગત અર્થવ્યવસ્થામાં બચત અને રોકાણો એક જરૂરિયાત તરીકે મહત્ત્વનાં છે. એક વર્ગ એવો છે જે ખુબ મહેનત કરીને વધારાની આવક રળીને, કે કરકસર કરીને પણ, બચત કરે છે ને જુદા જુદા પ્રકારનાં રોકાણો દ્રારા સંપત્તિ એકઠી કરે છે. બીજો વર્ગે એવાં લોકોનો છે જે લોકોએ પહેલેથી ચીજવસ્તુઓનો સંગ્રહ કે વિવિધ અસ્કમાયતો ઊભી કરી લીધી હોય છે. એવાં લોકો વધી ગયેલા ભાવોનો લાભ લઈને એ ચીજવસ્તુઓના કરેલા સંગ્રહ કે અસ્કમાયતો વેંચીને તેમાંથી થયેલી આવકમાંથી ફરી ફરીને નવી સંપત્તિ ઊભી કરી લેતાં હોય છે. એક વર્ગ એવો પણ છે જે માત્ર ભૌતિક સમૃધિના લોભને વશ થઈને રોકાણો અને સંપત્તિ ઊભો કરતો રહેતો હોય છે.

    વ્યાવસાયિક અર્થશાત્રીઓ અને રોકાણ સલાહકારો લોકોની બચત અને રોકાણોની આવા ભાવ વધારાને કારણે ઘટતાં મૂલ્યની અવળી અસરના ઉપાય તરીકે એટલા પ્રમાણમાં વધારે બચત કરવાની સલાહ આપતાં હોય છે. આમ કરવા પાછળનો તર્ક એ છે કે  ઘટેલાં વાસ્તવિક મૂલ્યની સંભાવના સાચી પડે તો પણ રોકાણો કે બચતો ભવિષ્યની જરૂરિયાત પુરી કરવા પર્યાપ્ત બની રહે.

    જેમ જેમ ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવો વધતા રહે તેમ તેમ તેનાં ઉત્પાદનમાંથી આવક રળનારો સક્રિય રોકાણકારોનો વર્ગ એ ચીજવસ્તુઓ અને સેવાઓનાં ઉત્પાદનને વધારવા માટે મુડી અને દેવાંઓની માંગમાં પણ વધારો કરતો રહેતો રહે છે. બચત અને રોકાણ, કે, મુડી અને દેવું, પણ એક પ્રકારની નાણાકીય જણસ જ છે જેની કિંમત વ્યાજના સ્વરૂપે અંકાય છે.  એટલે માંગ અને પુરવઠાના સિદ્ધાંત અનુસાર, જેમ જેમ વધારાની મુડી કે દેવાં માટે નાણાની માંગ વધતી જાય તેમ તેમ તેનાં વળતર પેટે ચુકવાતાં વ્યાજનો દર વધતો જાય. વધતાં જતાં વળતરને કારણે લોકો દ્વારા થતી બચત અને રોકાણો વધારે આકર્ષક બનવા લાગે એટલે નાણાનો પ્રવાહ ચીજવસ્તુઓની ખરીદીની સરખામણીમાં બચત અને રોકાણો તરફ વધવા લાગે.

    આમ અનેક કારણોસર, અર્થવ્યવસ્થામાં બચત અને રોકાણોનો પુરવઠો વધતો જ રહે છે. જ્યાં સુધી ચીજવસ્તુઓનો પુરવઠો તેમની માંગ કરતાં ઓછો હોય ત્યાં સુધી આ સુચક્ર ચાલુ રહે છે. પરંતુ માંગ અને પુરવઠાના સિદ્ધાંત અનુસાર, એક તબક્કો એવો આવે છે જ્યારે વધેલા ભાવે ચીજવસ્તુઓની માંગ સ્થિર રહેવા લાગે, કે ઘટવા લાગે. જેમ જેમ માંગ ઘટવા લાગે તેમ તેમ ચીજવસ્તુઓ અને સેવાઓનો પુરવઠો ફાજલ પડવા લાગે. પરિણામે, ન વેંચાયેલી ચીજવસ્તુઓના જથ્થાનો ભરાવો થવા લાગે. સક્રિય રોકાણકારોની મુડી કે દેવાં હવે માલના આ ભરાવાને પહોંચી વળવામાં વપરાવા લાગે. પરંતુ, આવા ઉપયોગમાં રોકાયેલ મુડી કે દેવાનું જે વ્યાજ ચુકવવું પડે તે તો બિનઉત્પાદક ખર્ચ છે. પરિણામે, આ તબક્કે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન પણ સ્થિર થવા લાગે, કે ઘટવા લાગે.

    એક બાજુ ઉત્પાદન અને વેચાણ ઘટે અને બીજી બાજુ માલના ભરાવાનું ખર્ચ વધે, એટલે સક્રિય રોકાણકારના અપેક્ષિત નફામાં ગાબડાં પડવા લાગે. ઘટતા જતા નફાને કારણે સક્રિય રોકાણકારની મુડી અને દેવાં પરનું વળતર આપવાની, તેમજ દેવું પરત કરી આપવાની, ક્ષમતા નબળી પડવા લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તો, મુડી અને દેવામાં કરેલું રોકાણ આર્થિક દૃષ્ટિએ પોષાણક્ષમ નથી રહેતું. એક તબક્કો એવો આવે છે જ્યારે, સમગ્ર અર્થવ્યવવસ્થામાં મુડી અને દેવાં માટે નાણાની માંગમાં ઘટાડૉ થવા લાગે છે અને તેના પ્રમાણમાં બચતો અને રોકાણોનો પુરવઠો વધી પડેલો જણાય છે. માંગ અને પુરવઠાના સિધ્ધાંત અનુસાર હવે મુડી અને દેવાં પરનું વ્યાજ ઘટવા લાગે છે, જેને પરિણામે બચતો અને રોકાણો પરનાં વળતર પણ ઘટવા લાગે છે.

    બચત અને રોકાણ, કે ધિરાણો, પરનું વળતર જ તેમાં રોકાયેલાં નાણાનું મૂલ્ય છે. એટલે ઘટતું જતું વળતર બચત અને રોકાણ, કે ધિરાણો દ્વારા ઉપાર્જિત સંપતિનાં મૂલ્યને ઘટાડે છે. ભુતકાળના વળતરના દરને ગણતરીમાં લઈને કરેલ બચતો કે રોકાણો હવે આજની વધારાની આવકની જરૂરિયાત પુરી કરવા પર્યાપ્ત નથી રહેતાં. તે જ રીતે, ભવિષ્યની વધારાની આવકની જરૂરિયાત પુરી કરવા માટે વર્તમાનમાં વધારે બચત કે રોકાણ કરવાં પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહે છે. આપણે કરેલ બચત, રોકાણો, કે ધિરાણ, આપણને અમુક વળતર (વધારાની આવક) આપશે એવી અપેક્ષા હવે ભ્રમ બની રહે છે.

    વિશ્વમાં આજે એવા કેટલાય વિકસિત દેશોની અર્થવ્યવસ્થાઓની પરિસ્થિતિ એવી છે કે ત્યાં વ્યાજના દર ૦% કે લગભગ તેની નજીક પ્રવર્તે છે. આ બધા દેશો વિકાસને એવે તબક્કે પહોંચી ચુક્યા છે કે હવે ત્યાં અમુક હદથી વધુ વપરાશ વધે એવી શક્યતાઓ નથી રહી. તેની સામે ત્યાંની ઉત્પાદન ક્ષમતાઓ મહત્તમ સીમાએ છે. વસ્તી પણ ખુબ સમૃધ્ધ હોવાથી ત્યાંનો બચત દર પણ ભૂતકાળમાં ઘણો વધારે હતો. એટલે ત્યાં હવે આટલા ઓછા વ્યાજ દરને કારણે બચત પર ભાર મુકવાને બદલે વધારેમાં વધારે ખર્ચ થતું રહે અને વપરાશ વધે એવી આર્થિક નીતિઓ અપનાવાઈ રહી છે. ભવિષ્ય માટે સંપત્તિ ઉપાર્જન કરવાને બદલે વર્તમાનને માણી લો એવો અભિગમ પ્રચલિત થતો ગયો છે !

    ૩. વધતી જતી માંગ, વધતા ભાવોની સાથે સાથે વધતો પુરવઠો અર્થવ્યવસ્થાની ફુલગુલાબી પરિસ્થિતિનાં સુચકો ગણાય છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં આ તબક્કો તેજીના તબક્કા તરીકે ઓળખાય છે. આનાથી બિલકુલ સામે છેડે એવો તબક્કો છે જ્યાં માંગ ઘટી રહી છે અને પુરવઠો તેના પ્રમાણમાં એટલો વધારે પડે છે કે ભાવો ઘટતા જાય છે. અર્થશાસ્ત્ર્ની પરિભાષામાં આ તબક્કાને મંદીનો તબક્કો કહે છે.

    તેજીના તબક્કામાં ભવિષ્યમાં હજુ ભાવો વધશે, માટે આજે જ ખરીદી કરી લો એવી મનોદશાનાં ચલણમાં રહેતી જોવા મળે છે.  તેની સામે, મંદીના તબક્કામાં ખરીદારો હજુ પણ ભાવો ઘટશે એવી અપેક્ષામાં ખરીદીઓ મુલતવી રાખવાનો અભિગમ ધરાવવા લાગે છે. સમગ્ર અર્થવ્યવસ્થાને સ્તરે આવી મનોદશા માંગના ઘટાડાનાં વિષચક્રમાં ફેરવાતી જાય છે.

    ઘટેલા ભાવોને કારણે સ્થાયી અને જંગમ મિલક્તોનાં મૂલ્યમાં દેખીતો ઘટાડો થાય છે. આવા તબક્કામાં ઘણી વ્યક્તિઓ, વેપારી પેઢીઓ કે બેંકો પણ તેમની તાત્કાલિક જવાબદારીઓ નિભાવી શકવાને અસમર્થ બની જવાને  કારણે નાદારી જાહેર કરવા સુધીની હાલતે પહોંચી જવાના અનેક દાખલા ઇતિહાસમાં નોંધાઈ છુકેલા છે. બેંકના બચત ખાતામાંતો કટોકટી માટે જરૂર પડ્યે અમુક રકમ રાખવી જોઇએ એવી સલાહ પણ રોકાણ સલાહકારો આપતા હોય છે. પરંતુ, આવી નાણાભીડના સમયે બેંકો દ્વારા તેમના ખાતાધારકો અને થાપણદારો પર ઉપાડ કરવાની બાબતે અંકુશ મુકવાની સ્થિતિમાં આવી જાય છે. પરિણામે, છતે પૈસે બેંકનો ખાતાદાર બેસહાય પરિસ્થિતિમાં મુકાઈ જાય છે.   તેમાં પણ જો મોટું વૃક્ષ પડે તો આસપાસના છોડો અને ઘાસનો તો વગર વાંકે કચ્ચરચાણ નીકળી જાય એ ન્યાયે આવી નાદારીને કારણે સામાન્ય વર્ગની મુડી, મિલ્કત કે રોકાણને પડતો ફટકો તો ઘણીવાર મરણતોલ નીવડી શકે છે.

    આવી પરિસ્થિતિમાં પોતાની વર્તમાન આવક અથવા તો રોકડ કે પ્રવાહી કક્ષાની નાણા બચતમાંથી ખરીદી કરવી ફાયદાકારક નીવડે છે. જો કે એ સમયે વેચનારને નુકસાન અનુભાવતું હોય તો તે એવા ભાવે વેચવાનું ટાળે એવું પણ બને. ભૂતકાળમાં અર્જિત કરેલી સ્થાયી કે જંગમ મિલ્કતનું વેચાણ મુશ્કેલ બને છે. એટલે કે મૂળ રોકાણના પ્રમાણમાં હવે ઉપાડ કરવા માટે કરવું પડતું વેચાણ નુકસાનકારક પરવડે છે. પરિણામે, વેચનારને ખરીદનાર ન મળે અને ખરીદનારને વેચનાર ન મળે એવી વિચિત્ર લાગે એવી પરિસ્થિતિઓ પણ ઉભી થઈ શકે છે.

    આમ, અર્થવ્યવસ્થાના મંદીવાળા તબક્કામાં પણ નાણાકીય મિલ્કત ભ્રામક પરવડતી અનુભવી શકાય છે.

    હવે પછી આપણે નાણાંના છઠ્ઠાં પાસાં – મિલ્કતની હસ્તાંતરણ કે સખાવત દ્વારા વહેંચણી – વિશે વાત કરીશું.


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • રૂઢિવાદિતા અને લૈંગિક અસમાનતામાંથી મુક્તિની દિશામાં..

    નિસબત

    ચંદુ મહેરિયા

    આંતરરાષ્ટ્રીય મહિલા દિન ૨૦૨૪ નિમિત્તે ગુગલ ડુગલ

    આમ તો એ ભારતની સર્વોચ્ચ અદાલતે પ્રકાશિત કરેલી નાનકડી પુસ્તિકા છે. પરંતુ નારી મુક્તિની દિશામાં આ નાનકડું પગલું અનેક સકારાત્મક અસરો જન્માવે તેવું છે.  ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટસને યૌન હિંસાના કેસોની સુનાવણી દરમિયાન પિતૃસત્તાત્મક ધારણાઓ અને લૈંગિક રૂઢિવાદથી મુક્ત રહેવા દિશાનિર્દેશ આપ્યા હતા. માર્ચ ૨૦૨૩માં LGBTQ હેન્ડબુક પ્રગટ કરી હતી. એ વખતે જ વડા ન્યાયમૂર્તિ ડી.વાય ચંદ્રચૂડે મહિલા સંબંધી ભેદભાવ અંગે હેન્ડબુક પ્રગટ કરવા આશા વ્યક્ત કરી હતી. અદાલતોમાં કેસની કાર્યવાહી દરમિયાન વકીલો, ન્યાયાધીશો અને અન્ય લોકો રૂઢિવાદથી દ્રઢ થયેલા શબ્દો અને માન્યતાઓ વ્યક્ત કરે છે. તેની અસર ચુકાદા પર  પણ પડે છે. એટલે માંડ ત્રીસ પાનાંની HANDBOOK ON COMBATING GENDER STEREOTYPES  મહિલા સંબંધી પરંપરાગત માન્યતાઓમાંથી છૂટકારો અપાવવામાં અગત્યની છે.

    સુપ્રીમકોર્ટની વેબસાઈટ પર અપલોડ આ હેન્ડબુક કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ મૌસમી ભટ્ટાચાર્યના અધ્યક્ષપદ હેઠળની સમિતિએ તૈયાર કરી છે. સમિતિના સભ્યો રિટાયર્ડ જસ્ટિસ પ્રભા શ્રીદેવન, જસ્ટિસ ગીતા મિત્તલ અને પ્રોફેસર ઝૂમા સેન હતા.  હેન્ડબુકમાં સ્ટિરીઓટાઈપ્સ એટલે શું તે જણાવ્યું છે. મહિલાઓ પ્રત્યેની પરંપરાગત માન્યતાઓ ઉદાહરણો સાથે જણાવી છે તો અસમાનતાસૂચક શબ્દોના વિકલ્પો દર્શાવ્યા છે. મહિલાઓ અને કન્યાઓ માટે લિંગ-તટસ્થ શબ્દોની સૂચિ સાથે તેમની મર્યાદા અને ગરિમાને અનુરૂપ વૈકલ્પિક શબ્દો આપીને મુક્તિની ભાષા કેવી હોવી જોઈએ તે જણાવવા પ્રયાસ કર્યો છે.

    ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ચંદ્રચૂડે પ્રસ્તાવનામાં કાયદાના મૂલ્યો શબ્દના માધ્યમથી સંચરિત થાય છે તેમ જણાવી આશા વ્યક્ત કરી છે કે લૈંગિક દ્રષ્ટિકોણથી ન્યાયપૂર્ણ શબ્દાવલીનો ન્યાયાધીશો ઉપયોગ કરશે તો આખા સમાજ પર તેની સારી અસર પડશે અને સમાજ પણ તે શબ્દોનો ઉપયોગ કરતો થશે. એ સાચું કે અદાલતી ચુકાદામાં ન્યાયાધીશો ભેદભાવકર્તા શબ્દોનો ઉપયોગ ન કરવા સભાન હોય છે પરંતુ જ્યારે મોટાભાગનો સમાજ પિતૃસત્તાક માનસિકતા ધરાવતો હોય ત્યારે જજીસ અને એડવોકેટ્સ તેનાથી મુક્ત હોતા નથી.એટલે ઉલટતપાસમાં કે કેટલાક ચુકાદાઓ સુધ્ધાંમાં આવા શબ્દો કે માન્યતાઓ જોવા મળે  છે. આ પુસ્તિકામાં એ શબ્દો, વાક્યાંશો અને માન્યતાઓની ઓળખ કરવામાં આવી છે અને તેના વિકલ્પો  જણાવ્યા છે.

    કેટલાક અદાલતી ચુકાદાઓ મહિલા સંબંધી રૂઢિવાદી માન્યતાઓથી ગ્રસ્ત  જોવા મળે છે. નૈના સહાની તંદૂરકાંડના આરોપી સુશીલ શર્માને ફાંસીને બદલે  આજીવન કારાવાસની સજા કરી હતી. કેમ કે ન્યાયાધીશો એવી પરંપરાગત  માન્યતા ધરાવતા હતા કે નૈના સહાની ભણેલી-ગણેલી અને મહત્વાકાંક્ષી સ્ત્રી હતી.તે એક ગરીબ અને અસહાય  મહિલા નહોતી ! પરંતુ પિતાના ખૂન કેસની આરોપી શબનમને ફાંસીની સજા એટલે આપી કે જજોની માન્યતા હતી કે પિતાનું આજીવન માન- સન્માન જાળવવાની જેની પાસે આશા હોય તે પુત્રી જ પિતાનું મર્ડર કરે તો તેને ફાંસીથી ઓછી સજા ના થઈ શકે. રાજસ્થાન હાઈકોર્ટે ૧૯૯૫ના ભંવરીદેવી સામુહિક બળાત્કારકાંડના તમામ અરોપીઓને મુક્ત કરતાં ચુકાદામાં કહેલું કે બળાત્કારનો ભોગ બનેલાં ભંવરીદેવી સુંદર નથી , કથિત નિમ્ન જ્ઞાતિના છે તેથી તેમના પર કથિત ઉચ્ચ જ્ઞાતિના પુરુષો બળાત્કાર કરી શકે નહીં. ન્યાય તોલનારા  ન્યાયાધીશો કેવી લૈંગિક અસંવેદનશીલતા ધરાવી શકે છે તેના આ કેટલાંક ઉદાહરણો છે. લૈંગિક ન્યાયને હાનિકર્તા ચુકાદા અને ટિપ્પણીઓ સુપ્રીમની હેન્ડબુકથી અટકશે તેવી આશા રાખવી રહી.

    સ્ટીરિયોટાઈપ્સ અર્થાત ઘસાઈ ગયેલી કે પરંપરાગત માન્યતા, પરંપરાથી ઘર કરી ગયેલી , રૂઢ થઈ ગયેલી ધારણા કેવી હોય છે તે પણ સુપ્રીમે ઉદાહરણોથી જણાવ્યું છે.

    ૧. મહિલાઓ અતિભાવુક અને તર્કહીન હોય છે તથા નિર્ણયો લઈ શકતી નથી.

    ૨.  મહિલાઓ પુરુષો કરતાં શારીરિક રીતે નબળી હોય છે.

    ૩. દરેક મહિલા બાળક પેદા કરવા માગે છે.

    ૪. મહિલાઓ બીજાની દેખભાળ કરવા માટે વધુ યોગ્ય હોય છે.

    જેવા ઉદાહરણોને રૂઢિગત માન્યતા ગણાવીને હેન્ડબુકમાં તે માન્યતા કે ધારણાનો છેદ ઉડાડતી તાર્કિક દલીલો કરવામાં આવી છે.

    મહિલાઓ પ્રત્યે ભેદભાવ કે અસમાનતા દર્શાવતા લગભગ ચાળીસ શબ્દો તેના વિકલ્પ સહિત જણાવ્યા છે. અદાલતી કાર્યવાહીમાં હવે ઈન્ડિયન વુમન કે વેસ્ટર્ન વુમનને બદલે માત્ર વુમન, પ્રોવોક્ટિવ ક્લોથિંગ (ભડકાઉ કે ઉત્તેજક કપડાં) ને બદલે  માત્ર ડ્રેસ કે કપડાં, બાસ્ટર્ડ કે નાજાયજ ઓલાદ ને બદલે એવું બાળક જેના માબાપે લગ્ન કર્યા નથી., હાઉસવાઈફ ને બદલે હોમમેકર, અવિવાહિત મા ને બદલે મા, વેશ્યાના વિક્લ્પે યૌનકર્મી કે સેક્સવર્કર, સેક્સ ચેન્જ ને બદલે જેન્ડર ટ્રાન્ઝિશન કે સેક્સરિએસાઈનમેન્ટ, પીડિતાને બદલે યૌન હિસાથી પ્રભાવિત,  ઈવ ટીજિંગ કે છેડછાડ ને બદલે ગલી કે સડક પર યૌન ઉત્પીડન, બાળવેશ્યાને બદલે જેમનું ટ્રેફિકિંગ થયું છે તેવા બાળકો, પતિવ્રતા, આજ્ઞાકારી અને વિશ્વાસપાત્ર પત્નીને બદલે પત્ની, અફેર ને બદલે લગ્ન બાહ્ય સંબંધ –  શબ્દોનો ઉપયોગ કરવા સૂચવ્યું છે.

    આ હેન્ડબુક કોઈ અદાલતી હુકમ નથી પરંતુ અદાલતી કાર્યવાહીમાં બાળકીઓ અને મહિલાઓ માટેના નકારાત્મક તથા ઘૃણિત માનસિકતાના ધ્યોતક શબ્દોના સ્થાને તટસ્થ શબ્દોના ઉપયોગથી એ સિધ્ધ થશે કે અદાલતોને મહિલાઓ અંગેની પરંપરાગત માન્યતાઓ, ધારણાઓ અને શબ્દો સ્વીકાર્ય નથી. કમ સે કમ ન્યાયતંત્ર તો લૈંગિક સમાનતાની તલાશ અને અમલ માટે પ્રતિબધ્ધ છે. બંધારણે સમાજ પરિવર્તનની જે શક્તિ  અદાલતોને આપી છે તેનો તે અમલ કરી રહી છે તેવું આ હેન્ડબુકના પ્રકાશનથી જણાશે..

    જ્યારે ન્યાયાલયો સમક્ષ વેશ્યા કે પ્રોસ્ટિટ્યૂટ્ને બદલે સેક્સવર્કર શબ્દ વપરાય અને તેને કારણે વર્કરની કામની જગ્યા, કામની સ્થિતિ, આવક, આરોગ્ય જેવી બાબતો ચર્ચાય તો આ હેન્ડબુકનું હોવું સાર્થક બની શકે છે . કાયદા કે ન્યાયાલયની બહાર , ભાષા અને વ્યવહારમાં સુપ્રીમની આ હેન્ડબુકનો અને તે થકી મહિલા સમાનતા તેમજ મહિલા ગરિમાનો તેનો સંદેશ આત્મસાત થાય તો બંધારણનિર્માતાઓનો બરાબરીનો હક વાસ્તવમાં સૌને  મળી શકે.

    સમાજ  અને તેના ભાગરૂપ પોલીસ અને શિક્ષણ રૂઠિવાદિતાને સવિશેષ પોસે છે. એટલે જો  આ માર્ગદર્શિકા પ્રમાણે તેમના વ્યવહાર, વિચારો અને પધ્ધતિમાં ફેરફાર આવી શકે તો સુપ્રીમનો મોટા પરિવર્તનનો નાનો પ્રયાસ દીપી ઉઠે તથા આગળ ધપી શકે . લૈંગિક રૂઢિવાદિતાની મસમોટી ખાઈ ભરવાના આવા નાનકડા પ્રયાસો જ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ખરી ઉજવણી છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ભારતનાં સ્થાપત્યોનાં કેટલાંક રેખાચિત્રો

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

    Mahendra Shah March Kalasampoot India sketches


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • તમારે અહીં ફક્ત એક ચીજનું જોખમ છે : કવિતા

    તવારીખની તેજછાયા

    પાબ્લો નેરૂદાએ ૧૯૪૩માં મચ્છુપિચ્છુની મુલાકાત બાદ ૧૯૪૫માં ‘ધ હાઈટ્સ ઓફ મચ્છુપિચ્છુ’ કવિતા લખી હતી.

    સ્પેનના આંતરવિગ્રહમાં લોર્કાની શહાદત સાથે નેરૂદાની કવિતા નવી જ પ્રતિબદ્ધ પ્રતીતિમાં ઠરી કે આ કોઈ પ્રેમનું અફીણડોડું નથી; માનવીય બિરાદરીમાં ન્યાય ને સમતા માટેનું બુલંદ જાહેરનામું છે.

    પ્રકાશ ન. શાહ

    તાજેતરમાં બે વાત, લગરીક આગળપાછળ પણ લગભગ એક સાથે બની. સિતાંશુ યશશ્ચંદ્રે આજના જગતની કવિતામાં સહુની સહિયારી તોયે એકેએકની પોતાની સફર લઈને આવતો કાવ્યસંચય ‘संगच्छध्वम्’ હાથમાં મૂક્યો. એમ જ પાનાં ફેરવતાં હું પ્યોર્તોરિકન કવિ માર્તિન એસ્પાદાની રચના ‘બગીચામાં બંદૂકધારીઓ’ આગળ અટકી પડ્યો. ચીલે (ચીલી)ના વિશ્વવિશ્રુત ને નોબેલ પુરસ્કૃત કવિ-રાજપુરુષ પાબ્લો નેરૂદાના અંતિમ પર્વને સ્પર્શતી એ કૃતિના થોડા અંશો:

    તખ્તાપલટ પછી નેરૂદાના બગીચામાં, એક રાતે સોલ્જરો તૈનાત કરવામાં આવ્યા

    * * *

    કવિ મરતા જતા હતા કેન્સરે એમના બદનમાં આગ લગાડી દીધી હતી

    * * *

    તો પણ જ્યારે લેફ્ટેનન્ટ ઉપલે માળે ધસી આવ્યા ત્યારે નેરૂદાએ એમની બરાબર સામે જોઈને કહ્યું: તમારે અહીં ફક્ત એક ચીજનું જોખમ છે: કવિતા લેફ્ટેનન્ટે અદબથી પોતાને માથેથી ટોપો ઉતાર્યો સેનોર નેરૂદાની માફી માગી ને દાદરા ઊતરી ગયો.

    * * *

    આજકાલ કરતાં ત્રીસ વરસથી અમે ગોત કરીએ છીએ એવા બીજા એક મંત્રની જેને બોલતાં બગીચામાંથી બંદૂકધારીઓ છૂ થઈ જાય.

    કવિ પાબ્લો નેરૂદા મૂડીવાદ ને સરમુખત્યારી શાસનના ઘોર વિરોધી હતા. ચીલેમાં ક્યારેક સેનેટર રહ્યા હતા, તો પરદેશમાં વખતોવખત રાજનયિક (ડિપ્લોમેટિક) કામગીરી પણ બજાવી હતી. વચ્ચે કેટલાંક વરસ દેશનિકાલ પણ વેઠ્યો હતો. ૧૯૭૦માં જ્યારે સમાજવાદી-માર્ક્સવાદી ઝુકાવ સાથે ઉદાર લોકશાહી વલણોવાળી સાલ્વાદોર આયંદેની સરકાર બની ત્યારે નેરૂદા પેરિસ ખાતે ચીલેના રાજદૂત પણ હતા. 1971માં એમને નોબેલ પારિતોષિક મળ્યું. એ સ્વીકારીને તે જ્યારે પરત ફર્યા ત્યારે એમના અભિવાદન સારુ સ્ટેડિયમ સિત્તેર હજાર લોકોથી ઉભરાઈ ઊઠ્યું હતું. ૧૯૭૩માં મિલિટરી કૂ(પ)થી આયંદે સરકાર ગઈ ને જમણેરી સરમુખત્યારી શાસન સ્થપાયું ત્યારે નેરૂદા કેન્સરની સારવાર હેઠળ હતા. સરમુખત્યાર પિનોશેના ઈશારે ભળતા ઈન્જેક્શન થકી એમનું મોત નીપજ્યાની ત્યારે લાગણી હતી.

    હમણાં, એસ્પાદાની ઉપર ઉતારી તે પંક્તિઓ વાંચતો હોઈશ એવામાં એક સમાચાર તરફ ધ્યાન ગયું કે ચીલેની અદાલતમાં નેરૂદાના મૃત્યુને લગતો કેસ ખૂલ્યો છે અને એના શંકાસ્પદ સંજોગોનો ભેદ ખૂલે એવી શક્યતા છે. કિશોરાવસ્થા અને તારુણ્યના સંક્રાન્તિકાળે ઉત્કટ પ્રણયકાવ્યોથી ઊંચકાયેલા કવિની દલિત-દમિત માનવતા માટેની લાગણી 1936ના સ્પેનિશ આંતરવિગ્રહ સાથે જાણે કે એક નવું જ બેપ્ટિઝમ પામી એમ અભ્યાસીઓ કહે છે. પોતે ત્યારે સ્પેનમાં ચીલેના કોન્સલ હતા, અને ફેડરિક ગાર્સિયા લોર્કા સાથે એમના મૈત્રીબંધનને નવો પુટ ચડ્યો હતો. આ લોર્કા સ્પેનની લોકશાહી રુઝાનવાળી સરકાર સામે જમણેરી લશ્કરી બળોની સામે અવાજ ઉઠાવવામાં સક્રિય હતા. આ બળોનું નેતૃત્વ ફાંસીવાદી જનરલ ફ્રાન્કો કરતા હતા. લોર્કાને આ લશ્કરી બળોએ ઝબ્બે કર્યો ત્યારે જવાબદાર અધિકારીએ કહ્યું હતું કે એણે પોતાની પેનથી એવો દેકારો બોલાવ્યો હતો જે પિસ્તોલથીયે ન મચ્યો હોત.

    સ્પેનિશ આંતરવિગ્રહના અનુભવ અને લોર્કાની શહાદત સાથે નેરૂદાની કવિતા એક નવી જ પ્રતિબદ્ધ પ્રતીતિમાં ઠરી કે આ કોઈ ‘ધીમંત ક્રીડા’ નથી પણ માનવીય બિરાદરીમાં ન્યાય ને સમતા માટેનું બુલંદ જાહેરનામું છે. એ કંઈ પ્રેમનું અફીણડોડું નથી.

    સાંભરે છે, લોર્કા વિશે પેલા સ્પેનિશ લશ્કરખોરની ટિપ્પણી કે કલમ ને કવિતા, પિસ્તોલથી ક્યાંય ચડિયાતી હાણ પહોંચાડે છે! કદાચ, કોઈ એક રચનાંશ વાસ્તે નેરૂદા સતત સંભારાશે તો તે ‘હાઈટ્સ ઓફ મચ્છુપિચ્છુ’ હશે. પેરુમાં મચ્છુપિચ્છુ ખાતે ૭,૯૭૦ ફૂટની ઊંચાઈએ તેરમી-ચૌદમી સદીમાં રચાયેલી વસાહત બે’ક સૈકામાં લુપ્ત પામ્યા પછી પણ લાંબા સમય લગી વિદેશી આક્રાન્તાઓથી અસ્પૃષ્ટ, એ રીતે અજેય જેવી રહી, એમાંથી અનુભવાતા એક અવિનાશી જીવનની આ દાસ્તાં છે. દેવહુમાની પેઠે, ‘રાઈઝ અપ અને બી બોર્ન’ એ જાણે કે સ્થાનિક જન જનને, લેટિન અમેરિકા માત્રને જગવતો યુગમંત્ર છે.

    લેખિકા સુવર્ણાએ ૨૦૦૫માં પ્રકાશિત વાર્તાસંગ્રહ ‘પોતાનું નામ’ની પ્રસ્તાવનામાં નેરૂદા અને લોર્કાને અનાયાસ જ એક સાથે સરસ સંભાર્યા છે. ‘લલિત’ પણ લખતાં પોતે દલિતોને સમર્પિત છે એમ કહેતાં એમણે આ મથામણ ક્યાં સુધી એવા પ્રશ્નનો ઉત્તર નેરૂદાના સપનામાં જોયો છો: ‘ચાલો, આપણે ચાંદા જેવડી મોટી પોળી બનાવીએ, જેમાંથી જાતિ-ધર્મ-દેશ-વેશના ભેદથી પર થઈ, એકબીજામાં ભળી જઈ, બધાં એક જ થાળીમાં જમીએ.’ અને પછી જાણે આ પ્રક્રિયાનું વાર્તિક કરતાં હોય તેમ લોર્કાને સંભાર્યો છે : ‘જ્યારે શોષિત મુક્ત થશે ત્યારે ખરેખર તો શોષક મુક્ત થયો હશે. શોષણે શોષિતને જ નહીં શોષકને પણ અમાનવીય બનાવી દીધો છે. અત્યારે ગુલામ અને ગુલામધારક બંને બેડીમાં છે. ગુલામની બેડી તૂટે તો જ માલિકનીયે તૂટે.’

    નેરૂદા સામ્યવાદી પક્ષને આજીવન વફાદાર રહ્યા પણ પ્રસંગે ઢાંચાઢાળ વફાદારીથી ઊંચે પણ ઊઠી શકતા. કોઈક સંદર્ભે એમને સોવિયેત યુનિયન માટે પ્રીતિવશ પક્ષપાત કઠ્યો ને ખૂંચ્યો પણ હશે. ક્રાંતિકારી ચે ગુવેરાના અતોનાત ચાહક છતાં શાંતિમય પરિવર્તનની શક્યતાઓ માટે કંઈક કૂણા પણ હશે. ચીનની મુલાકાત પછી ભરીબંદૂક કહ્યું હતું એમણે કે મને માઓ ગમે તેથી માઓવાદ પણ ગમે એવું ચોક્કસ નહીં. એમના મિત્ર મેક્સિકન કવિ ઓક્ટેવિયો પાઝે (જેઓ ભારતમાં મેક્સિકી રાજદૂત હતા, એમણે) ક્યારેક સ્તાલિન ભણી અઢળક ઢળિયા નેરૂદાની અપીલ હમણેના દાયકાઓમાં એવી જ બરકરાર છે.

    એકાદ દાયકા પર ‘અરબ વસંત’ના દિવસોમાં કેરોની સડકો ને દીવાલો પર નેરૂદાની એ પંક્તિ ચીતરાયેલી હતી કે તમે સઘળાં પુષ્પોને સંહાર્યા પછી પણ વસંતને ખાળી શકતા નથી.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૬ – ૦૩ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • મેં તજી તારી તમન્ના | ઘરેથી નીકળો તો

    (૧) મેં તજી તારી તમન્ના – અબ્બાસ વાસી ‘મરીઝ’

    મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
    કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

    છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
    કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

    એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
    એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

    મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો,
    આપ પણ એવું કહો છો કે મને આરામ છે !

    કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુખતું હશે !
    આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે.

    આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
    આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

    જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
    એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

     

    (૨) ઘરેથી નીકળો તો – રશીદ ‘મીર’

    ઘરેથી નીકળો તો રાખજો સરનામું ખિસ્સામાં,
    મળે છે કોણ જાણે કેવા ઝંઝાવાત રસ્તામાં.

    ગમે તે રીતે એનું મૂલ્ય ચૂકવવું પડ્યું અંતે,
    અનુભવ ક્યાં મળે છે કોઈને ક્યારેય સસ્તામાં.

    અગર બેસી રહો ઘરમાં તો એનો થાક લાગે છે,
    અને ચાલો તો ઘરની યાદ તડપાવે છે રસ્તામાં.

    હતો મારો ય હક્ક સહિયારા ઉપવનમાં બરાબરનો,
    મગર કાંટા જ કાંટા એકલા આવ્યા છે હિસ્સામાં.

    રહ્યો ના ‘મીર’ કોઈ સાર હું નીકળી ગયો જ્યાંથી,
    હતી મારા જ કારણ તો બધી ઘટનાઓ કિસ્સામાં.

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક ચોથો : પ્રવેશ ૨

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક ચોથો: પ્રવેશ ૧ થી આગળ

    અંક ચોથો

    પ્રવેશ ૨ જો

    સ્થળ : કનકપુરનો રાજમાર્ગ.

    [રાઈ અને શીતલસિંહ પ્રવેશ કરે છે.]

    રાઈ : શીતલસિંહ આપણે ક્યાં જઈએ છીએ ?

    શીતલસિંહ : પ્રભાપુંજ મહેલમાં.

    રાઈ : મહેલ કરતાં નગરમાં મને વધારે આનંદ થાય છે.

    શીતલસિંહ : નગરના મુખ્ય મુખ્યભાગ આપે જોયા છે તે બસ છે, પણ મહેલના તો એકએક ખૂણાની આપને માહિતી મળવી જોઈયે.

    રાઈ : મહેલમાં મારે શું જોવાનું બાકી છે ?

    શીતલસિંહ : રાણીનો આવાસ.

    રાઈ : રાણીનો ? કઈ રાણીનો?

    શીતલસિંહ : લીલાવતીનો.

    રાઈ : તેનો આવાસ જોવાની મારે શી જરૂર છે ?

    શીતલસિંહ : આપ પર્વતરાય થશો અને પર્વતરાયની રાણીને નહિ ઓળખો?

    રાઈ : શીતલસિંહ ! તમારાં વચન કંઈ મર્મવાળા લાગે છે. (અટકીને) મને કંઈ અમંગલ શંકાઓ જેવું થાય છે. તમને તેવું થાય છે?

    શીતલસિંહ : મને તો એવું કાંઈ થતું નથી.

    રાઈ : (પૂર્વ આકાશ તરફ જોઈને) પણે ચન્દ્ર હજી ઊગે છે તેટલામાં તેના તરફ કેવું વિકરાળ વાદળું ધસી આવે છે?

    [ઈંદ્રવંશા]

    કદ્રપિ કાળી અતિઘોર આકૃતિ,
    બે શૃંગ ઉંચા, શિર નાનું કૂબડું;
    બે હાથ વાંકા, પગ સ્થૂલ ટૂંકડા,
    ગાંઠો ભરેલું સહુ અંગ એહનું. ૪૫

    શીતલસિંહ : એ માત્ર આપની કલ્પના છે. વાદળા જેવું વાદળું છે. જુઓ, આપણે મહેલને પાછલે બારણે આવી પહોંચ્યા

    રાઈ : શીતલસિંહ ! મારો હાથ ઝાલો. મારા પગ ધ્રૂજે છે.

    શીતલસિંહ : આ શું ? મહેલમાં તો આપણે ઘણી વાર જઈ આવ્યા છીએ. આપની હિંમત ભરેલી બેદરકારી ક્યાં ગઈ ?

    રાઈ : ગઈ રાતે મને ઊંઘ આવી નથી. તેથી મારું માથું ઘૂમે છે એ મારી અવસ્થાનું કારણ છે. રાણીનો આવાસ આપણે શી રીતે જોઈશું.

    શીતલસિંહ : આવાસના શયન ગૃહમાં નજર પડે એવી રીતે ભીંતની ઊંચે છત પાસે પર્વતરાય મહારાજે એક નાની બારી મુકાવેલી છે. રાણીને તેની ખબર નથી. બારી બંધ હોય છે ત્યારે ભીંત ઉપરના ચિત્રકામમાં તેના દ્વાર ભળી જાય છે. અને બારી આગળ મોટું ઝુમ્મર ટાંગેલું છે, તેથી બારી ઉઘાડી હોય છે ત્યારે પણ આવાસમાં ફરતાં માણસોથી તે દેખાતી નથી. તે બારીએ જઈ આપણે બેસીશું.

    રાઈ : પર્વતરાયે એ બારી શા માટે મુકાવેલી ?

    શીતલસિંહ : રાણી એકાંતમાં શું કરે છે તેની ગુપ્ત દેખરેખ રાખવા.

    રાઈ : પર્વતરાયને રાણીનો અણભરોંસો હતો ?

    શીતલસિંહ : ઘરડા વરને જુવાન વહુનો અણભરોંસો હોય જ.

    રાઈ : એવી પ્રેમ વિનાની લજ્ઞગાંઠ પર્વતરાયે બાંધી શું કામ?

    શીતલસિંહ : પાળેલું પંખી ઊડી ન જાય માટે આપણે તેને પાંજરામાં પૂરી રાખીએ છીએ, તેથી શું આપણને તેના પર પ્રેમ નથી હોતો?

    રાઈ : (સ્વગત) ઓ પ્રેમ ! શી તારી નાલેશી !

    શીતલસિંહ : ચાલો, હવે મહેલની અંદર જઈએ. પહેલાંની પેઠે આ મારું પોટલું લઈ આપ મારા નોકર તરીકે ચાલ્યા આવજો.

    [બન્ને જાય છે.]


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત

     

  • ફિલસુફીભર્યાં ગીતો – ૨૦ : ये ज़िंदगी किसी मंज़िल पे रुक नहीं सकती, हर इक मक़ाम पे क़दम बढ़ा के चलो

    નિરંજન મહેતા

    ૧૯૬૭ની ફિલ્મ ‘હમરાઝ’નુ આ ગીત આજે ૫૭ વર્ષ પછી પણ તેના સંદેશાત્મક શબ્દોને કારણે એટલું જ લોકપ્રિય છે જેટલું તે ફિલ્મની રજૂઆત પછી હતું.

    मुँह छुपा के जियो और सर झुका के जियो
    ग़मों का दौर भी आये तो मुस्कुरा के जियो
    मुँह छुपा के जियो और सर झुका के जियो

    घटा में छुपके सितारे फ़ना नहीं होते
    अँधेरी रात में दिये जला के चलो
    मुँह छुपा के जियो और सर झुका के जियो

    ये ज़िंदगी किसी मंज़िल पे रुक नहीं सकती
    हर इक मक़ाम पे क़दम बढ़ा के चलो
    मुँह छुपा के जियो और सर झुका के जियो

    સરહદ પરના સૈનિકોના ઉત્સાહ વધારવા સુનીલ દત્ત પોતાના ગ્રુપ સાથે ત્યાં કાર્યક્રમ કરવા જાય છે અને જ્યાં આ નૃત્યગીત રજુ કરાય છે. આડકતરી રીતે વિમી, કે જે નિરાશામાં ડૂબેલી છે તેને ઉદ્દેશીને આ નૃત્યગીત રજુ થયું છે. નૃત્યગીતમાં હેલન અને ગોપીકીસનનાં ઉત્કૃષ્ટ નૃત્યને માણવાનો લહાવો મળે છે. ગીતકાર સાહિર લુધિયાનવી, સંગીતકાર રવિ અને ગાયક મહેન્દ્ર કપૂર.

    આખા કાર્યક્રમનો ઉદ્દેશ સૈનિકોને પ્રોત્સાહિત કરવાનો હતો. આ નૃત્યગીત દ્વારા તે ધ્યેયની રજૂઆત થઇ છે.

    નૃત્યગીતમાં નિરાશ થાઓ ત્યારે ક્યારેય મો સંતાડીને ન જીવો અને મસ્તક પણ ઊંચું રાખીને જીવો એ મતલબનો સંદેશ અપાયો છે. જિંદગીમાં દુઃખો આવવાના અને તેનો સામનો કરવો જ પડે. તો જરાય અચકાયા વગર તેનો સામનો પણ હસ્તે મુખે કરો.

    આકાશમાં કેટલીયે વાર રાતના તારા વાદળો પાછળ ઢંકાઈ જાય છે પણ તેથી તેનો નાશ નથી થતો, તે જ રીતે તમે જ્યારે દુઃખથી ઘેરાઈ જાઓ ત્યારે આ વાત યાદ રાખી જીવનને આગળ ધપાવો. જેમ અંધારી રાતમાં દીવો પ્રગટાવી તમારી મુસાફરીને આગળ વધારો છો તે જ રીતે તમે તમારા જીવનની સંકટમય સફરને આશાનો દીવો પ્રગટાવી આગળ વધારો.

    યાદ રાખો કે આ જિંદગી કોઈ એક જગ્યાએ અટકતી નથી. એટલે ક્યાંક અટક્યા વગર આગળ ડગ માંડતા રહો અને જીવનને વધાવતા રહો.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મી ગઝલો – ૪૧. મધુકર રાજસ્થાની

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    અને એક હતા મધુકર રાજસ્થાની. ( એક મધુકર બિહારી પણ હતા ! ) એમની ઓળખ રૂપે કેટલીક ગૈર-ફિલ્મી રચનાઓના મુખડા રજૂ કરીશ તો સંગીતના સાચા ભાવકો એમને તુરંત ઓળખી જશે.  ‘ યે આવારા રાતેં ‘, ‘ નથની સે ટૂટા મોતી રે ‘ ( મન્ના ડે), ‘ તેરે ભરોસે ઓ નંદ લાલા ‘ , ‘ પાંવ પડું તોરે શ્યામ ‘  ‘ તુમ આઓ રુમઝુમ કરતી પાયલ કી ઝનકાર લિયે ‘ ( રફી ) , ‘ આબાદ રહો મેરે દિલ કો જલાને વાલે ‘ , ‘ આજ ગગન મેં ચંદા ઉતરા ‘  ‘ બાત અધૂરી રહ ગઈ ઉસ દિન ‘ ( મુકેશ ) અને ‘ આંખોં મેં કિસી કી ખોકર મૈં ‘  ‘ ચુપકે સે કભી જબ યાદ મેરી ‘ ( તલત મહેમૂદ ). હા જી. આ બધી તિલિસ્મી રચનાઓના રચયિતા એટલે આ મધુકર રાજસ્થાની. રેડિયોના સુવર્ણયુગમાં આ બધા ગીતો અને વિશેષત: ભજનોનો આસવ મારા જેવા ભાવકોએ વિવિધ ભારતી પર ભરપેટ પીધો છે.

    રસપ્રદ વાત એ કે એમણે આશરે બે ડઝન ફિલ્મોમાં પણ ગીતો લખ્યા જેને રોશન, સુધીર ફડકે અને હુસ્નલાલ ભગતરામ જેવા દિગ્ગજોએ સંગીતે મઢ્યા. કમનસીબે ન ફિલ્મો ચાલી, ન ગીતો. પેશ છે એ ફિલ્મોમાંની બે ગઝલો. બન્ને ફિલ્મ ‘ દિવાલી કી રાત ‘ ( ૧૯૫૬ ) ની છે અને સંગીતકાર છે સ્નેહલ ભાટકર.

     

    કહાં મેરી મંઝિલ કહાં મેરી રાહેં,  કહાં  અપને દિલ કો લિયે જા રહા હું
    બહારોં ને મુજ સે કિયા હૈ કિનારા, ખિઝાંઓં કો શિકવે કિયે જા રહા હું

    ગિરી ઐસી બિજલી જલા આશિયાના, મગર યે ચમન મેં કિસી ને ન જાના
    લુટી મેરી મંઝિલ મિટી આરઝૂએં, મગર ફિર ભી અબ તક જિયે જા રહા હું

    શિકાયત ન ઉનસે ન કોઈ ગિલા હૈ, જહાં મેં મુહોબત કા યે હી સિલા હૈ
    છુપાએ  હુએ  દર્દ  દિલ  મેં  હઝારોં, હુઝૂમે  તમન્ના  લિયે  જા  રહા  હું

    ભુલા  દો  મુજે  ઔર  મેરી  કહાની, મુબારક હો તુમકો નઈ ઝિંદગાની
    સલામત રહો તુમ હો સહરા મુબારક, દુઆએં મૈં દિલ સે દિયે જા રહા હું..

    – તલત મહેમૂદ

    કહને કો બહુત  કુછ કહના થા, ટકરાઈ નજર શરમા હી ગએ
    ઈસ ઝુકતી નઝર કો દેખ સનમ, હમ પિયે બિના લહરા હી ગએ

    ઝુલ્ફોં કી ઘટાઓં મેં છુપકર, જી ભર કે ચલાઓ તીરે નઝર
    ઉલફત કી અદા કે દીવાને, સૌ તીર જિગર પર ખા હી ગએ

    તુમ રાઝે મુહોબત ક્યા સમજો, તુમ ઈશ્ક કી બાતેં ક્યા જાનો
    હાય કચ્ચે ધાગે  સે બંધ  કર, સરકાર મેરી  તુમ આ હી ગએ

    ઐ સાઝે  જવાની છેડ  કોઈ, એક ગીત  સુહાના  પ્યાર ભરા
    દો પ્યાર ભરે દિલ આજ મિલે, મંઝિલ કો અપની પા હી ગએ

    ઐ રાત યહીં પર  રુક જા તૂ, ઐ ચાંદ સિતારોં મત ઢલના
    અંદાઝે બયાં સે ઝાહિર હૈ, હમ ઉનકે દિલ કો ભા હી ગએ..

    – તલત મહેમૂદ / મધુબાલા ઝાવેરી


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • આપણું જીવન આભારી છે, મધમાખી, પતંગિયા, પક્ષીઓ અને શલભને !

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

    પૃથ્વી પર વસતા દરેક જીવની એક આગવી ભૂમિકા અને હેતુ હોય છે, જેના માટે તેઓનું અસ્તિત્વ છે.

    કુદરતે તૈયાર કરેલ આહાર શૃંખલા પર દરેક જીવ નભે છે અને આહાર શૃંખલાના ભાગ બની, એક બીજા પર નિર્ભર રહીને તેઓનું જીવન વ્યતીત થાય છે.

    જીવનનિર્વાહ અર્થે મધમાખીઓનું આગવું મહત્વ છે. મધમાખીઓ, પક્ષીઓ, પતંગિયાઓ અને શલભ પરાગનયનની ક્રિયા શક્ય બનાવે છે, તેઓ ખરા અર્થમાં પરાગનયનકારો છે. આપણું જીવન મધમાખી, પતંગિયા, પક્ષીઓ અને શલભને આભારી છે.

    પરાગનયન અનુકૂળ ખેત-ઉત્પાદન સાંકળમાં મધમાખીનું મહત્ત્વનું સ્થાન છે.

    મધમાખીઓ, અન્ય ઘણાં જીવોની જેમ ઝડપથી લુપ્ત થઈ રહી છે અને આ અંગે જાગૃકતા લાવવા, દર વર્ષે૨૦મી મેના રોજ  “હની બી ડે (મધમાખી દિવસ)”  ઉજવવામાં આવે છે, જેથી આ અંગે જાગૃતિ આવે, એમની સંખ્યામાં વધારો થાય અને એમનું આપણાં જીવનમાં જે મહત્વ છે, એ સૌને સમજાય.

    દરેક જીવન્ત વસ્તુ વિકસે છે અને બદલાય છે, જેમાં છોડનો પણ સમાવેશ થાય છે. યોગ્ય પરિસ્થિતિમાં બીજમાંથી છોડ ઉગે છે અને ઘણાં બધા છોડ પર સુંદર ફૂલો ઉગે છે. કુદરતમાં ફુલોનું ખુબ મહત્વ છે. મધમાખીનું અસ્તિત્વ જ જાણે છોડના પ્રજનન માટે છે. આ ક્રિયા પરાગનયન વડે થાય છે, જેમાં પરાગરજ એક ફૂલના પુંકેસર દ્વારા બીજા ફૂલના બીજકોષ પર મુકાય છે.

    “રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશન ( NBHM)”  ભારત સરકારની એક પહેલ છે, જેમાં 2 વર્ષ દરમિયાન મધમાખીના વૈજ્ઞાનિક ઉછેર દ્વારા તેમની સંખ્યા વધારી દેશમાં “મધુર ક્રાંતિ” લાવવાનું લક્ષ્ય છે, જેનાથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવક વધશે, સાથે જ રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળશે અને મોંઘા કેમિકલયુક્ત ખાતર અને દવાઓનો ઉપયોગ ખુબ જ ઓછો થઈ જશે.

    માનવસર્જિત મધપૂડામાં મધમાખીઓના વસવાટની વ્યવસ્થા કરી, માણસો હવે મધમાખીને આંશિક રૂપે પાળવા લાગ્યા છે અને મધનું ઉત્પાદન પણ કરવા લાગ્યા છે. મધપૂડામાં કે જંગલી માળામાં, મધમાખીઓના કુલ ત્રણ પ્રકાર હોય છે:

    – એક જ સ્ત્રીજાતિની રાણી માખી

    – અમુક સંખ્યામાં નર માખીઓ જે નવી રાણી માખીને જન્મ આપી શકે

    – ૨૦,૦૦૦ થી ૪૦,૦૦૦ જેટલી સ્ત્રી મજૂર માખીઓ

    મધમાખી હંમેશા પરાગનયન માટેની સુપરહીરો માનવામાં આવે છે. જે ફૂલો મધમાખી દ્વારા પરાગાધાન થાય છે એ સપાટ, થોડા પ્રમાણમાં મધવાળા, ઉઘડતા રંગ વાળા જેમકે વાદળી અથવા પીળા (મધમાખી લાલ રંગ નથી જોઈ શકતી), મધુર સુગંધવાળા, બેસવા માટે પહોળી જગ્યા ધરાવતા અને દિવસ દરમ્યાન ખુલ્લા રહેતા હોય છે.

    સાથે જ, ઘણાં ફૂલોમાં મધની માર્ગદર્શિકા હોય છે. કુદરતે અલગ અલગ જીવોને આગવી લાક્ષિણકતાઓ આપી છે, જેનો એક હેતુ છે. માણસો અલ્ટ્રાવાયોલેટ કિરણો નથી જોઈ શકતા; મધમાખીઓ આ વિરોધાભાસી પેટર્ન જોઈ શકે છે, જે તેમને ફૂલોની વચ્ચે રહેલ પોષક મધ સુધી પહોંચવામાં સહાયક બને છે.

    પરાગનયનકારો કેવી રીતે માણસોને મદદરૂપ છે ? આજે તમે શું ખાધું એ યાદ કરો: એક કેળું, એક પીનટ બટર અને જેલી સેન્ડવીચ સાથે એક સફરજન,  અને આ બધાની સાથે ટામેટાનો જ્યુસ ? હવે, એક ઘૂંટ ભરો – અને હવે છોડ અને પરાગનયનકારોનો આભાર વ્યક્ત કરો જેમના કારણે તમને આ સ્વાદિષ્ટ ભોજન મળ્યું.  ફૂલોનું પરાગન થાય છે, ત્યારે તેઓ બીજ ઉત્પન્ન કરે છે અને જીવન શૃંખલા ચાલ્યા કરે છે.

    મધમાખીઓ અને અન્ય માખીઓ દ્વારા તૈયાર થતું મધ સ્વાદમાં મધુર અને ચીકણું પ્રવાહી હોય છે. મધમાખીઓ ફૂલોમાં રહેલ મધુર સ્ત્રાવમાંથી મધ બનાવે છે. ફૂલોના મધુર સ્ત્રાવમાંથી મધમાખી મધપૂડો બનાવે છે, જેનો ઉપયોગ પોતાના શારીરિક બંધારણને મજબૂત કરવા કરે છે અને બાકીનું લાંબા સમય માટે સંગ્રહી રાખે છે. ઠંડી ઋતુમાં અથવા જયારે આહારના વિકલ્પ ન મળે, ત્યારે પુખ્ત અને નાની માખીઓ સંગ્રહિત મધનો ઉપયોગ કરે છે.

    મધ પહેલેથી જ મધમાખી દ્વારા પચાવેલું હોય છે આથી પચવામાં ખુબ જ સરળ હોય છે અને એમાં અનેક ઔષધીય ગુણો રહેલા હોય છે.

    મધનો ઉપયોગ અને ઉત્પાદન પૌરાણિક કાળથી થતું આવ્યું છે. સ્પેનમાં આવેલ કેટલીય ગુફાઓમાં મળેલ ચિત્રોથી જાણવા મળે છે કે 8000 વર્ષો પૂર્વે પણ માણસો મધની ખેતી કરતા હતા.

    આપણા ઘરોની આસપાસ મળતી મધમાખીઓમાં: ઇન્ડિજીનીયસ એપિસ સિરાના (એશિયન મધમાખી), એપિસ ફલોરિયા( ડવાર્ફ મધમાખી) અને એપિસ ડોરસાટા (જાયન્ટ મધમાખી), મેલીપોનીની (ડંખ વગરની મધમાખી) અને ઝાયલપકો (સુથારી મધમાખી).

    આ બધી જ મધમાખીઓ અલગ અલગ પ્રકારના મધપૂડાઓ બનાવે છે અને એ પણ અલગ અલગ પ્રકારની જગ્યાઓ એ અને અમુક માખીઓ એકલી જ જીવન વિતાવે છે, કેવી અજાયબી !

    વિશ્વમાં પહેલા ૨૦,૦૦૦ થી વધુ પ્રકારની મધમાખીઓ હતી !

    મધમાખીઓના બચાવ દ્વારા આપણે આબોહવા પરિવર્તનને કાબુ કરી પ્રકૃતિને આપણું યોગદાન આપી શકીશું અને પ્રાકૃતિક ખેતી સહીત સર્વજીવો સાથે સહજીવન વ્યતીત કરી શકીશું, એટલે કે સહઅસ્તિત્વ.

    આપણું જીવન મધમાખીઓ પર નભે છે.

    સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો

    Love – Learn  – Conserve


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • વનવૃક્ષો : બાવળ

    ગિજુભાઈ બધેકા

     

    પગમાં બાવળનો કાંટો લાગ્યો હશે તેણે તો બાવળનું ઝાડ જોયું હશે.

    બાવળ કાઠિયાવાડ અને ગુજરાતમાં ઠેકઠેકાણે થાય છે.

    કુદરતે ઘણાં ઝાડો ઉગાડ્યાં છે, તેમ બાવળને પણ ઉગાડ્યો છે.

    બાવળની લાંબી સૂળો પગમાં ભૉકાઈ જાય તેટલા માટે નહિ, પણ તેનું લાકડું બહુ કામનું છે માટે બાવળ ઉપયોગી છે.

    બાવળનું લાકડું કઠણ છે. તે જલદી સડતું નથી. બળતણ તરીકે બાવળનાં લાકડાં બહુ વપરાય છે. લાકડું કઠણ હોવાથી લાંબો વખત બળે છે ને તેની આંચ સખત લાગે છે.

    બીજાં બળતણ બળીને રાખ થઈ જાય છે, બાવળના લાકડાના કોલસા પડે છે. એ કોલસા ફરી વાર સગડીમાં બાળી શકાય છે.

    જંગલોમાં મોટા પાયા પર કોલસા બનાવવામાં આવે છે તે મોટે ભાગે બાવળનાં લાકડાંના. જંગલનાં મોટાં મોટાં ઝાડો સળગાવી મૂકે છે; લગભગ સળગી રહેવા આવે છે ત્યારે તેના પર ધૂળ વગેરે વાળી દેવામાં આવે છે, અગર તે દાટી દેવામાં આવે છે. આ કોલસા શહેરમાં વેચાતા મળે છે તે.

    બાવળની સૂળો ધોળી અને લાંબી છે. બે સૂળો એક છેડે જોડાયેલી રહે છે. નાનાં બાળકો તેનું એક ઉખાણું નાખે છે :–

    “બે ભાઈ વચ્ચે એક મુખ.”

    બાવળનો કાંટો એકાએક પેસી જાય તો તે ઊંડે જાય છે. બાવળના કાંટાને કેટલાક લોકો ટાંકણીઓ પેઠે ગામડામાં વાપરે છે. કોઈ વાર છોકરાઓ મોટર કે સાયકલમાં પંચર પાડવા બાવળના કાંટાને રસ્તામાં વેરે છે. બાવળની સૂળોને ગામડામાં ભીંતે કાંઈ ચોડવું હોય તો ખીલી પેઠે વાપરે છે.

    બાવળની લાંબી લાંબી શીંગો થાય છે, તેને પરડા કહે છે. પરડાનો સ્વાદ તૂરો લાગે છે. કાઠિયાવાડનાં ગામડાઓમાં લોકો તેનું અથાણું કરે છે. એ અથાણું સારું લાગે છે.

    બાવળનો ગૂંદર વધારે મોંઘો અને વધારે ઉપયોગી છે. એ દવામાં પણ કામ આવે છે. શિયાળામાં લોકો પાક કરીને ખાય છે, તેને ગૂંદરપાક કહે છે.

    પણ પેલો માસ્તર નિશાળિયાને ‘ગૂંદરપાક’ આપે છે તે જુદો. એ ગુંદરપાક એટલે તો ઠોંસા અને થપાટ !

    બાવળના થડ કે ડાળી ઉપર કુહાડીથી કાપા પાડવામાં આવે છે; તેમાંથી રસ નીકળે છે અને જામી જાય છે. એનું નામ ગૂંદર.

    બાવળ ઉપયોગી છે છતાં લોકો તેની નિંદા કરે છે. ગધેડાને કઢોર, કળથીને કધાન અને બાવળને કઝાડ કહે છે. લોકો પણ છે ને કાંઈ !

    શું કામ એને કઝાડ કહેતા હશે ? કેમકે એને છાંયે બેસી શકાતું નથી; એની નીચે એટલા બધા કાંટા હોય છે; એને છાંયે અનાજ પાકે નહિ ને ખેતી બગડે.

    બાવળને ઝાડે સુગરી પોતાના માળા ખાસ કરીને બાંધે છે. સુગરીને એમ તો અક્કલ બહુ છે. એનું નામ સુગૃહી, સારા ઘરવાળી. એનો માળો સાચે જ સુંદર હોય છે. પણ શા માટે એ કાંટાળા બાવળે જઈને બાંધતી હશે ? પણ એમ તો બુલબુલને પણ બાવળ ગમે છે. એમ તો એવું બહુ યે હશે. આપણે પક્ષીનું ક્યાં જાણીએ છીએ ?

    અને આટલું બધું લખ્યું પણ એક વાત તો રહી જ ગઈ. બાવળનાં રોજ રોજ દાતણ કરીએ છીએ એ તો યાદ રહ્યું જ નહિ ! બાવળનું દાતણ બહુ સારું ગણાય છે. તે ચાવવાથી મોં, જીભ, ગળું સુંવાળું રહે છે ને તેનો કૂચો પોચો મજાનો થાય છે.

    બાવળનું વાંકું વાઘરી નહિ બોલે; વાઘરીને તો એના ઉપર રોટલો છે.

    હું આ લખું છું તે વખતે મારી પાસે બેઠેલો એક વૈદ કહે છે: “અરે! તમે બાવળની પાલી-પાંદડાની વાત તો ભૂલી જ ગયા ! માણસનું મોઢું આવે ત્યારે બાવળની પાલી મૂકવાથી મોઢું મટી જાય છે.”

    બાવળ વિષે ઘણું લખ્યું. હવે બસ.


    માહિતી સ્રોત : વિકિસ્રોત