વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સલામ દોસ્ત !

    આશા વીરેન્દ્ર

    ઉટી જેવા હીલ સ્ટેશનમાં આવેલ ટી એસ્ટેટના મેનેજરની પદવી કંઈ નાની-સૂની નહોતી. તમામ સુખ-સુવિધા સાથેનો વિશાળ બંગલો, ફરતે સુંદર બગીચો, ઘરની સંભાળ રાખવા એક દંપતી, માળી, બાવર્ચી અને એસ્ટેટની દેખરેખ રાખવા ઘણું ફરવું પડે એ માટે એક પાણીદાર ઘોડો. પૉલ રૉબર્ટ આ બધાથી ખુશ હતો. અહીં ભારતમાં આવીને રહેવા એણે પત્નીને કેટલું સમજાવી હતી !

    ‘ડાર્લિંગ, તું એક વાર આપણાં વિલીને લઈને ઇન્ડિયા આવ તો ખરી! મને ખાતરી છે; તમને બંનેને અહીં બહુ ગમશે.’ પણ કેથી તૈયાર નહોતી.

    ‘ના, હું તો આ જ દેશમાં રહીશ અને વિલીને પણ અહીં જ રાખીશ. તારે જે કરવું હોય એને માટે તું સ્વતંત્ર છે.’

    કેથી નથી જ માનવાની એ જોયા પછી પૉલે એકલા રહેવાનું સ્વીકારી લીધું હતું. વર્ષમાં એકાદ મહિનો કુટુંબ સાથે રહીને ફરી પાછું કામે લાગી જવું એવું એણે નક્કી કર્યું હતું. ઘરની દેખભાળ રાખતો ઈકબાલ અને એની પત્ની શબનમ વિશ્વાસુ હતાં. પૉલ એસ્ટેટ પર જવા નીકળે પછી શબનમ આખું ઘર સાફ કરી નાખતી. એ પાછો ફરે પછીનું બધું કામ ઈકબાલ સંભાળતો. એક સાંજે પૉલ આરામ ખુરશીમાં બેસીને ચિરુટના કશ ખેંચતો હતો ત્યારે ઈકબાલે વિનયપૂર્વક પૂછ્યું,

    ‘ હુજૂર,  શું આપને આ બૉલ કંઈ કામમાં આવે એમ છે?’ પૉલે જોયું તો એના હાથમાં સાવ જૂનો થઈ ગયેલો એક રબરનો બૉલ હતો. આવો બૉલ ઘરના કોઈક ખૂણાંમાં પડ્યો હતો એવો પૉલને ખ્યાલ પણ નહોતો. એણે પૂછ્યું,

    ‘કેમ, તારે એનું શું કામ છે?’

    ‘હુજૂર, મારો ચાર-પાંચ સાલનો દીકરો છે- મહમ્મદ. એને આનાથી રમવાની બહુ મજા પડશે. જો આપની મહેરબાની હોય તો…’

    ‘ઠીક છે, ઠીક છે. લઈ જા. આપજે તારા દીકરાને.’

    બીજે દિવસે સાંજે એ કામેથી પાછો ફર્યો ત્યારે એણે જોયું કે એક બાળક પેલા બૉલથી રમી રહ્યો હતો. એને સમજતાં વાર ન લાગી કે એ મહમ્મદ હતો. સાહેબને પોતાની આટલા નજીક જોઈને એ ઘડીક ગભરાયો પણ તરત મીઠું હસીને, પોતાની નાજુક હથેળી કપાળ સુધી લઈ જઈને એ બોલ્યો, ‘સલામ સા’બ.’

    પૉલને એને જોઈને વિલી યાદ આવ્યો. છોકરાને ખભે જરાક ટપલી મારતાં એણે કહ્યું, ‘સલામ, સલામ.’

    ધીમે ધીમે પૉલને મહમ્મદમાં રસ પડવા માંડ્યો. એસ્ટેટ પરથી આવીને હજી ઘરમાં દાખલ પણ ન થયો હોય ત્યાં એની નજર  મહમ્મદને શોધવા માંડતી. બગીચામાં પડેલા તૂટેલી ઈંટના ટૂકડા, કપચીઓ, પ્લાસ્ટીકના પાઈપના ટૂકડા જેવી નકામી વસ્તુઓમાંથી મહમ્મદ અવનવી આકૃતિઓ બનાવતો રહેતો. કોઈ કલાકાર પોતાની કલાકૃતિને આખરી ઓપ આપી રહ્યો હોય એવી તન્મયતાથી રોજ કંઈક નવું સર્જન કરતાં આ માસૂમ બાળકને જોઈને એનાં હૈયામાં વાત્સલ્ય ઊભરાતું.

    ભલે ‘સલામ સા’બ’ અને ‘સલામ, સલામ’થી વધુ સંવાદ એ બે વચ્ચે ન થતો હોય પણ બંનેને એકમેકની આદત પડી ગઈ હતી એટલું નક્કી. વપરાઈ ચૂકેલી બૉલપેનની રીફીલ, બેટરીના સેલ કે જૂનું ઘડિયાળ પૉલ સાચવીને રાખી મૂકતો અને ઈકબાલને બોલાવીને કહેતો,

    ‘લે, આ બધું મહમ્મદને આપજે. એ આમાંથી જરૂર કંઈક નવું બનાવી કાઢશે. ઈકબાલ, મને લાગે છે કે, તારો દીકરો મોટો કલાકાર બનવા સર્જાયો છે.’
    સાહેબની આવી વાત સાંભળીને ઈકબાલ ધન્ય થઈ જતો. ઘરે જઈને એ પત્નીને કહેતો,

    ‘શબનમ, ખબર છે, આજે હુજૂરે મમ્મદિયા માટે શું કીધું?’ ને પતિ- પત્ની સુખના સાગરમાં હિલોળા લેતાં.
    છેલ્લા બે દિવસથી મહમ્મદ દેખાયો નહોતો. પૉલને બેચેની થવા લાગી. સવારથી તો ઈકબાલ પણ જોવામાં નહોતો આવ્યો. એનાથી રહેવાયું નહીં. કોઈ દિવસ નહીં ને આજે એના પગ નોકરોનાં રહેઠાણ તરફ વળ્યા. ખોલીની બહાર ઊભા રહીને એણે બૂમ પાડી. માફી માગતો હોય એમ દયામણા સાદે ઈકબાલ કહેવા લાગ્યો,
    ‘હુજૂર, હમણાં આપની ખિદમતમાં હાજર થવાનો જ હતો પણ આ મમ્મદિયાને બે દિ’થી તાવ આવતો હતો ને અત્યારે જુઓને, ખેંચ આવવા માંડી તે…’ ઈકબાલની આંખો ભીની થઈ ગઈ.

    ‘અરે! મને કહેવું તો જોઈએ! હું હમણાં જ ડૉક્ટરને ફોન કરું છું.’
    ડૉક્ટરે લગભગ અડધા કલાક સુધી કાળજીપૂર્વક દર્દીને તપાસ્યો. ત્યાં સુધી પૉલે વ્યગ્રતાથી વરંડામાં આંટા માર્યા કર્યા. ડૉક્ટરે એની પાસે આવીને નિરાશાથી ડોકું ધુણાવ્યું, ‘પૉલ, આ લોકોનાં ખાવા-પીવાનાં કંઈ ઠેકાણાં હોય નહીં. સરખું પોષણ મળે નહીં. એવામાં આપણે કરી કરીને શું કરી શકીએ? જોઈએ, હવે શું થાય છે? મેં મારાથી બનતી કોશિશ તો કરી છે.’
    ડોક્ટરના આ ‘ જોઈએ, શું થાય છે’ શબ્દોએ પૉલને ચિંતામાં મૂકી દીધો હતો. એણે છ દિવસ સુધી અધ્ધર જીવે રાહ જોયા કરી. રોજ ઈકબાલને પૂછવાનો વિચાર કરતો કે, મહમ્મદને કેમ છે પણ એની સૂની અને ઊંડી ઊતરી ગયેલી આંખો જોઈને પૂછવાનું માંડી વાળતો. સાતમે દિવસે હજી એ એસ્ટેટ પર જવાની તૈયારી કરતો હતો, ત્યાં શબનમનો પોક મૂકીને રડવાનો અવાજ સંભળાયો. પૉલ ઈકબાલની ખોલી તરફ દોડ્યો. મા દીકરાને ગળે વળગાડીને છાતીફાટ રડી રહી હતી અને બાપ ડૂસકાં ભરી રહ્યો હતો.

    શું બોલવું કે શું કરવું એ પૉલને સમજાયું નહીં. એણે મહમ્મદ સાજો થાય ત્યારે આપવા માટે સાચવી રાખેલા રંગીન પેંસિલના થોડા ટૂકડા મહમ્મદના માથા પાસે મૂક્યા. ઈકબાલને ખભે હાથ મૂકતા એણે મનોમન કહ્યું, ઊગતા પહેલાં જ એક કલાકારનો અસ્ત થઈ ગયો.
    ઈકબાલ પોતાના એક સંબંધી સાથે કબ્રસ્તાન તરફ ભારે હૈયે ચાલવા લાગ્યો. સફેદ કપડામાં વીંટાળેલી દીકરાની લાશનો ભાર લાગતો હોય એમ એ વાંકો વળી ગયો હતો. એ જોઈને પૉલની આંખો ભરાઈ આવી અને એ ધીમેથી બોલ્યો, ‘સલામ દોસ્ત, સલામ. !’


    (રુડયાર્ડ કિપલિંગની અંગ્રેજી વાર્તાને આધારે)


    સૌજન્યઃ ‘ભૂમિપુત્ર’, વડોદરા


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ધુમ્મસની પાર

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    તાળું ખોલતાંની સાથે ઘરમાં ફેલાયેલા અજગરના જડબા જેવા સૂનકારે એના મન પર ભરડો લઈ લીધો. જોર કરીને એને ધકેલતી એ અંદર પ્રવેશી. ઘરની અંદર ધૂળની સપાટી જામી હતી એ સિવાય જતી વખતે એ જેમ મૂકીને ગઈ હતી એ બધું એમનું એમ જ હતું. જ્યારે એ પોતાના ઘેરથી પાછી આવતી ત્યારે એનો રૂમ જોઈને અકારણ એનું મન ઉદાસ થઈ જતું.

    કશું કરતાં પહેલાં ચા પીવાની ઇચ્છાથી સામાન એક બાજુ મૂકીને એ રસોડામાં ગઈ. ગેસ તો પેટાવ્યો પણ તરત બંધ કારી દીધો. દૂધ વગર ચા ક્યાંથી બનવાની હતી? દૂધની વાત છોડો, ઘડામાં પાણી પણ દસ-બાર દિવસ પહેલાંનું હતું. ઘરવાપસી પછી આવી નાનીનાની વાતોથી કંટાળીને અંતે એને રમાના શરણે જવું જ પડતું.

    બારી ખોલીને એણે રમાને બૂમ મારી.

    “સુખીયા હોય તો જરા એક જગ પાણી મોકલી આપીશ?”

    અને વળતી પળે રમા પોતે પાણીનો જગ લઈને આવી ઊભી. શીલાને સંકોચ થયો.

    “અરે, સુખીયાને મોકલી દેવી’તી ને? આવીને ઘર પણ સાફ કરી જાત.”

    “થશે એ બધું, ચા ચઢાવીને આવી છું, પહેલાં ચા પીવા તો ચાલો.”

    શીલા રમાની વાત ટાળી ના શકી. ચા પીને આવી, સીધી બાથરૂમમાં નહાવા ચાલી ગઈ. નહાઈને બહાર આવી ત્યારે સુખીયાએ ઘર વાળીને ચોખ્ખું કરી દીધું હતું. માથે લપેટેલા ભીના ટુવાલથી વાળ ઝાટકતા વિચાર આવ્યો, “કાશ મન પરથી પણ આવી રીતે ભાર ઝાટકી લેવાતો હોત તો!”

    “દીદી, રસોઈ બનાવું છું. આજનો દિવસ અહીં જમી લે જો.” વળી બારીમાંથી રમાની બૂમ સંભળાઈ.

    મનોમન રમાને કેટલાય આશીર્વાદ આપી દીધા. કમસે કમ આજે તો એકલી માટે બનાવવાનું કે એકલા જમવાનું સંભવ ન થાત એવી એને અને રમા બંનેને ખબર હતી. અને એટલે જ જ્યારે બહારગામથી પાછી આવતી ત્યારે એનું જમવાનું રમાનાં ત્યાં જ થતું. રમા હતી તો મકાનમાલિક, પણ શીલાની નાની બહેનની જેમ આગળપાછળ ફર્યા કરતી.

    રમાએ ખૂબ પ્રેમથી જમવાનું બનાવ્યું હતું પણ, શીલા ખાઈ ન શકી.

    “સાચું કહું તો ઘેરથી પાછી આવું છું ત્યારે મન બહુ ભારે થઈ જાય છે. તમારા બંને વગર તો હું સાવ એકલી.”

    “ઘરમાં માજી અને સૌ ઠીક તો છે ને?” રમાએ શીલાની સામે જોયું.

    “હા, ઠીક જ છે. ઈશ્વર જ એમને શક્તિ આપી દે છે નહીંતર ઉંમર અને બીમારીઓની ફોજ સાથે આટલાં મોટાં દુઃખ સામે ટકવાનું ક્યાં સહેલું છે?” શીલાએ ઊંડો શ્વાસ લઈને જવાબ આપ્યો.

    “છોકરાઓ ક્યાં છે?” રમાએ પૂછ્યું.

    “શશાંક અને પ્રશાંત તો પોતાના ઘેર જ છે. હવે તો એ મોટા થઈ ગયા એટલે એમની ચિંતા નથી.  સ્વાતિ હજુ ઘણી નાની છે. એનામાં તો પૂરતી સમજ પણ નથી. દીદીને એક દીકરી હોય એવી બહુ ઇચ્છા હતી. કેટલી માનતા પછી દીકરી આવી અને હવે એ જ પોતે પરલોક ચાલી ગઈ.” શીલાએ નિસાસો નાખ્યો.

    વાત હરીફરીને એ જ મુદ્દા પર આવીને અટકી જે વાત કરવી શીલા માટે કપરી હતી.

    જમ્યા પછી શીલા થોડી વાર બીટ્ટુ સાથે રમીને પાછી ઘેર આવી. સખત થાકી ગઈ હતી. થાક ફક્ત સફર કે શરીરનો જ હોય છે? મનનો થાક દેખાતો નથી પણ એ જ જીરવવો ભારે પડે છે.

    ક્યારની એ પોતાનું એકાંત ઝંખતી હતી. ઊંઘવા પ્રયત્ન કરતી રહી. મનમાં ઘેરાયેલા વિચારોના ધુમ્મસને છેદીને ઊંઘ એના સુધી ન પહોંચી. થાકીને બહાર આવીને જોયું તો રમા વરંડામાં બેસીને કશુંક ગૂંથતી હતી. પ્રમોદ બહાર ગયો હતો. એ રમા પાસે જઈને બેઠી.

    “ઊંઘ નથી આવતી દીદી?” રમાના અવાજમાં સહાનુભૂતિ હતી.

    “મન ચકડોળે ચઢ્યું હોય ત્યાં ઊંઘ ક્યાથી આવે? ત્યાં સૌની વચ્ચે કશું વિચારવાનો સમય જ નહતો.

    “દુઃખ જ એવું આવ્યું છે કે મનને શું આશ્વાસન આપી શકાય?”

    “દુઃખ માત્ર દીદી ગયાનું નથી. દુઃખ એ વાતનું છે કે એ લોકો મને દીદીની જગ્યાએ જોવા માંગે છે. દીદીના સાસરીવાળા આવું વિચારે તો એનું મને આશ્ચર્ય ન થાત, દુઃખ તો એ વાતનું છે કે મા, ભાઈ, ભાભી, કાકા, મામા પણ એમ જ ઇચ્છે છે. એના માટે દબાણ પણ કરે છે. મારું મન શોકથી ભારે હતું અને એમાં આવી વાત! છી… એવું લાગે છે કે જાણે દીદીના મૃત્યુની ઇચ્છા કરીને આટલો સમય હું કુંવારી બેસી ના રહી હોઉં ?” શીલાથી અકળામણ ઠલવાઈ ગઈ.

    “અને જીજાજી શું કહે છે?”

    “એ શું કહેવાના હતા? એમનું મૌન જ જાણે એ વાતનો સંકેત આપે છે કે, આ સૌની વાતમાં એમની સંમતિ જ છે. એ જાણે છે કે સમાજ અને કુટુંબવાળા ભારે દયાળુ છે, એમને લાંબો સમય એકલા નહી રહેવા દે. એ બધું તો ઠીક પણ દીદીય જાણે ગોઠવણ જ કરીને ગઈ છે.”

    રમાએ પ્રશ્નાર્થ ચહેરે શીલા સામે જોયું.

    “કહીને ગઈ છે કે શીલુને સ્વાતિની મા બનાવજો.”

    થોડી ક્ષણો એમ જ પસાર થઈ ગઈ. પછી રમા બોલી.

    “ચાર-છ મહિના પછી હું પણ આવો જ ઉકેલ લાવવાનું કહેત.”

    “કેમ રે રમા, તું પણ આમ જ વિચારે છે, તું મારી બધી વાત જાણતી નથી?”

    “જાણું છું દીદી, તમે કોઈ પાવન આત્માની યાદનો દીપક દિલમાં પ્રગટાવીને બેઠાં છો. દીદી, જીવન ભાવનાઓની આધારે નથી ચાલતું. એને કોઈકના સાથની જરૂર હોય છે. આજે નહીં ને કાલે તમને આ વાત સમજાશે.”

    “ત્યારે હું કોઈનો સાથ શોધી લઈશ. પણ, આજે આ લોકો જે કહે છે એ મને યોગ્ય નથી લાગતું. એ તો જાણે આવી કોઈ તકની રાહ જોતા હોય એવું નથી લાગતું?”

    “તક શબ્દ ભલે ખોટો હોય છતાં વિચારી જોજો. તમે કહો છો એમ મા પણ એવું જ ઇચ્છે છે. બરાબર, અને હમણાં જ જવાબ ન આપો પણ એ દિશામાં વિચારી તો શકાય ને?” રમાના સવાલોમાં છાનો આગ્રહ હતો.

    “રમા, જીજાજી માટે મને ખૂબ આદર છે, પણ પતિના સ્વરૂપે સ્વીકારવાનું તો દૂર કલ્પી પણ નથી શકતી. હવે મારી દુનિયા સાવ અલગ છે. મારી રીતે જીવન ગોઠવી લીધું છે. મારી દુનિયાના રંગો સૌ કરતા જુદા છે. ઑફિસની ફાઇલો જીજાજી માટે સાહિત્ય છે, મહિનામાં એકાદ પિક્ચર જોવા જવું એને કલાપ્રેમ માને, બાળકોના ભણતરની જવાબદારી અને પત્ની માટે વર્ષે એકાદ દાગીનો ઘડાવીને પોતાનું કર્તવ્ય પૂરું થઈ ગયું એમ માને એવી વ્યક્તિ સાથે મારો જીવનનિર્વાહ અસંભવ છે.” એક શ્વાસે શીલા ઘણું બોલી ગઈ.

    બારીમાંથી આવતા પ્રકાશમાં ચમકતા શીલાના ચહેરાને રમા જોઈ રહી.

    “બધું ક્યાં આપણે ઇચ્છીએ એમ મળે છે દીદી. જીવનમાં સમાધાન તો કરવું જ પડે છે.”

    “એની પણ એક ઉંમર હોય છે રમા. લગ્ન પહેલા દીદી બેડમિંગ્ટન રમતી’તી, સિતાર વગાડતી’તી, કથ્થક કરતી’તી, મહાદેવીના ગીતો ગાતી’તી પણ લગ્ન પછીના આટલા વર્ષોમાં શું ઉપલબ્ધિ પામી? પાંચ-સાત જાતના પુલાવ. દસ જાતના અથાણાં, બત્રીસ જાતનાં પકવાન અને ડઝન સ્વેટર બનાવવા સિવાય બીજું એણે કર્યું શું? સોળ વર્ષની ઉંમરે પરણી એટલે એ  સાસરીના ઢાંચામાં ચૂપચાપ ઢળી ગઈ, પણ પાંત્રીસ વર્ષની ઉંમર એટલી સરળ નથી કે હું એની જેમ વળી જઉં.”

    પ્રમોદના આવવાથી બંનેની વાત અહીં અટકી. રમા ચૂપચાપ ઊભી થઈ. પ્રમોદની સાથે ઘરમાં ગઈ. રમાના ઘરનો ઉજાસ અંધકારમાં ભળી ગયો. શીલા પોતાના રૂમમાં આવી.

    “બસ, આને જ દાંપત્ય કહેતા હશે? રમાએ કેટલી સરળતાથી પ્રમોદના વિચારોને અપનાવી લીધા છે? પોતાની અલગ અસ્મિતાને લઈને રમાને જરાય પરેશાન થતા નથી જોઈ. પોતાનાથી આ બધું શક્ય બનશે?”

    શીલાએ પોતાની જાતને પૂછ્યું. મનના કોઈ પણ ખૂણામાંથી હકારમાં જવાબ ન મળ્યો. પણ છેલ્લા કેટલાય સમયથી મનમાં સળગતો લાવા થોડો શાંત તો પડ્યો જ. એ સમજતી હતી કે એની એકલતાની પણ ચિંતા સૌને સતાવતી હતી. જ્યારે જ્યારે એ ઘેર જતી એટલી વાર મા કહેતી કે એની ચિંતામાં નથી એ શાંતિથી જીવી શકતી કે નથી મરી શકવાની. એમાં દીદીના મૃત્યુથી એના બાળકોની ચિંતાનો ભાર મન પર વધ્યો હશે.

    સૌને દીદીના અવસાન પછી ગૂંચવાયેલું કોકડું ઉકેલવા જીજાજી સાથે પોતાના લગ્નનો એક માત્ર રસ્તો જ દેખાતો હતો. દીદી પણ એમ જ ઇચ્છતી હતી. જતાંજતાં જાણે એક ફરમાન બહાર પાડતી ગઈ. અરે! મને પૂછવું તો જોઈએ ને? હું શું ઇચ્છું છું એ જાણાવું તો જોઈએ ને?

    અને અચાનક એ ઊભી થઈ. ટેબલલૅમ્પ ચાલુ કર્યો અને લખવા બેઠી.

    “આદરણીય જીજાજી, દીદીની ઇચ્છા હતી કે હું સ્વાતિની મા બનું. દીદીની વાત ટાળવાનો તો કોઈ સવાલ જ નથી. આપ નિશ્ચિંતતાથી સ્વાતિની સોંપણી મને કરી શકો છો. એ પછી આપની પત્ની બનવાનું સૌભાગ્ય જેને પ્રાપ્ત થશે એ મને દીદી જેટલી જ પ્રિય હશે, એની ખાતરી આપું છું. બસ, આટલું જ.”

    પત્રને એક કવરમાં બંધ કરીને ઉપર જીજાજીનું સરનામું કર્યું. પંદર દિવસમાં પહેલી વાર એણે શાંતિનો અનુભવ કર્યો. મન પર છવાયેલું શોક અને ચિંતાનું ધુમ્મસ ધીમે ધીમે આછું થતું હતું.


    માલતી જોશી લિખિત વાર્તા कोहरे के पार પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફિલ્મી ગઝલો – ૪૨. સરશાર સૈલાની

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    ફિલ્મોમાં અનેક કવિઓ એવા હતા જે ગીતકાર તો હતા જ, એ ઉપરાંત સિદ્ધહસ્ત કથા – પટકથા – સંવાદ લેખક પણ હતા. આવા હરફનમૌલા લેખકોમાં શિરમોર તો રાજેન્દ્ર કૃષ્ણ જ, પરંતુ એ સિવાય પણ કમર જલાલાબાદી, કેદાર શર્મા, આરઝૂ લખનવી, પ્યારેલાલ સંતોષી, દીનાનાથ મધોક, ગુલઝાર અને જાવેદ અખ્તર હતા. આ બધાની ગઝલોની વાત આપણે કરી ગયા. એવી જ એક બહુમુખી પ્રતિભા સરશાર સૈલાનીની વાત આજે કરીએ. ( સરશાર એટલે મસ્ત કે ચકચૂર અને સૈલાની એટલે સહેલાણી )

    સરશાર સાહેબનું ખરું નામ ભીમસેન હતું. એમનો એક જાણીતો શેર છે :

    અંધેરી  રાત,  તૂફાની  હવા,  ટૂટી  હુઈ  કશ્તી
    યહી અસબાબ ક્યા કમ થે કિ ઈસ પર નાખુદા તુમ હો ! 

    લેખક તરીકે સરશાર સાહેબે આયા સાવન ઝૂમ કે, કન્યાદાન, અમન, ગુનાહોં કા દેવતા, દેવર, આયે દિન બહાર કે, ગંગા કી લહરેં, આઈ મિલન કી બેલા, આપ કી પરછાઇયાં, અનપઢ અને બરસાત કી રાત જેવી ફિલ્મોની કથા / સંવાદો લખ્યા. ગીતકાર તરીકે બેવફા, આબશાર, આધી રાત, સ્ટેજ, કનીઝ, શાદી કી રાત, બિરહા કી રાત, એક થી રીટા, ખાનદાન અને રાગરંગ જેવી પંદરેક ફિલ્મોના ગીતો પણ. એમની એક હલકી – ફુલ્કી અને એક ગંભીર ગઝલ પેશ છે :

    દિલ લેકે દિલ દિયા હૈ, અહસાન ક્યા કિયા હૈ
    ઈતના ગુરૂર  કૈસા, ક્યા  મુફ્ત  મેં  દિયા  હૈ

    કુરબાન  ઈસ  અદા કે, ફિર  દેખ  મુસ્કુરા કે
    નજરોં સે દિલ ઉડા કે, કબ્ઝા જમા લિયા હૈ

    દો  મસ્ત  નૈન  તેરે,  દો  મસ્ત  નૈન  મેરે
    દોનોં ને ચાર હો કે, એક દિલ ચુરા લિયા હૈ

    તારોં  સે  કોઈ  પૂછે , બેચૈનિયાં  હમારી
    જિસ દિન સે દિલ દિયા હૈ, એક દર્દ લે લિયા હૈ..

    – ફિલ્મ : સ્ટેજ ૧૯૫૧

    – લતા / રફી

    – હુસ્નલાલ ભગતરામ

    તુમ કો ફુરસત હો મેરી જાન ઈધર દેખ તો લો
    ચાર  આંખેં  ન  કરો  એક  નઝર  દેખ તો લો

    બાત  કરને  કે લિયે  કૌન તુમ્હેં કહતા હૈ
    ન કરો હમસે કોઈ બાત મગર દેખ તો લો

    અપને  બીમારે  મુહોબત  કી  તસલ્લી  કે લિયે
    હાલે દિલ પૂછ તો લો ઝખ્મે જિગર દેખ તો લો

    દિલે  બરબાદ  કો  આબાદ  કરો  યા  ન  કરો
    કમ સે કમ તુમ મેરા ઉજડા હુઆ ઘર દેખ તો લો..

    – ફિલ્મ : બેવફા ૧૯૫૨

    – તલત મહેમૂદ

    – અલ્લારખા કુરેશી


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • પ્રેમપૂજારી (૧૯૭૦)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    દેવ આનંદ અભિનીત બે ફિલ્મો ૧૯૭૦માં રજૂઆત પામી, જેમાંની એક હજી ‘કલ્ટ’ ફિલ્મ ગણાય છે અને આજે પણ મારા જેવા અનેક એ ફિલ્મના ચાહક છે. એ ફિલ્મ હતી વિજય આનંદ દિગ્દર્શીત ‘જહોની મેરા નામ’. એ જ વર્ષની બીજી ફિલ્મ હતી ‘પ્રેમપૂજારી’. આ ફિલ્મ દેવ આનંદ દ્વારા દિગ્દર્શીત પહેલવહેલી ફિલ્મ હતી. ફિલ્મ રજૂઆત પામી અને એક જ સપ્તાહમાં તે સિનેમાઘરોમાંથી ઉતરી ગઈ. એટલે કે બૂરી રીતે પિટાઈ ગઈ. આમ તો કોઈ પણ દિગ્દર્શક માટે આ પરિસ્થિતિ એક દુ:સ્વપ્ન સમાન ગણાય. કાચોપોચો હોય તો ફરી દિગ્દર્શન કરવાની હામ ન ભણે, પણ દેવઆનંદ કાચાપોચા નહોતા. તેમણે એ પછી ‘હરે રામ હરે કૃષ્ણ’નું દિગ્દર્શન કર્યું અને એ ફિલ્મ જબ્બર સફળતાને વરી. દેવ આનંદ એક અભિનેતા તરીકે લોકપ્રિય હતા, પણ દિગ્દર્શક તરીકે તેમની ફિલ્મો બહુ નબળી. પણ ‘હરે રામ હરે કૃષ્ણ’ની સફળતાએ કદાચ તેમના દિગ્દર્શક તરીકેના આત્મવિશ્વાસમાં એટલો વધારો કરી દીધો હશે કે એ આજીવન ટકી રહ્યો.

    ‘જહોની મેરા નામ’માં સંગીતકાર કલ્યાણજી-આણંદજી હતા, અને ગીતકાર તરીકે ઈન્દીવર તેમજ રાજેન્દ્ર કૃષ્ણ હતા, પણ ‘પ્રેમપૂજારી’માં ગીતકાર ‘નીરજ’ અને સંગીતકાર સચીન દેવ બર્મનનું સુવર્ણ સંયોજન હતું. ફિલ્મ ભલે પિટાઈ ગઈ, પણ તેનાં ગીતો આજ દિન સુધી સંભળાતાં રહ્યાં છે. ગોપાલદાસ નીરજ વિશે વિચારું ત્યારે મને હંમેશાં કૈફી આઝમીની પંક્તિ ‘તુમ રહે ન તુમ, હમ રહે ન હમ’ ખાસ લાગુ પડતી લાગે. એક સમયનાં ‘આર.કે.’ અને ‘નવકેતન’ જેવાં મોટાં બેનરની ફિલ્મમાં તેમને ગીત લખવાની તક મળી અને તેમણે ઉત્કૃષ્ટ ગીત લખ્યાં, પણ ત્યારે એ બેનર પ્રતિષ્ઠાની રીતે ઘસાવા લાગ્યાં હતાં. નીરજની કલમનો જાદુ એવો છે કે શબ્દો સાંભળતાં જ એમની મુદ્રા જણાઈ આવે. એમાં સચીનદાનું સંગીત ભળે એટલે કેવું અદ્‍ભુત સંયોજન રચાય!

    (ડાબેથી) દેવ આનંદ, લતા મંગેશકર, સચીન દેવ બર્મન અને નીરજ

    ‘પ્રેમપૂજારી’માં કુલ સાત ગીતો હતાં. કિશોરકુમાર અને લતા મંગેશકર મુખ્ય ગાયક-ગાયિકા હતાં. ‘શોખિયોં મેં ઘોલા જાયે ફૂલોં કા શબાબ’ (લતા, કિશોર) ના શબ્દો અને તેની ધૂન કંઈક અદ્‍ભુત પ્રકારની છે, તો ‘ફૂલોં કે રંગ સે, દિલ કી કલમ સે’ (કિશોરકુમાર) ગીત એવું છે કે જાણે અનાદિથી ગવાતું હોય અને અનંત સુધી ચાલ્યા કરતું હોય. કશા પ્રિલ્યુડ વિના શરૂ થતું આ ગીત સૌથી લાંબું મુખડું ધરાવે છે એમ મિત્ર સંજય છેલે એક વાર જણાવેલું. ‘રંગીલા રે’ (લતા) ગીત પણ કંઈક અજબ મોહિની ધરાવે છે. એમાં મિશ્રિત કરુણરસ અને તેને અનુરૂપ વાયોલિન ગજબની અસર ઊભી કરે છે. ‘તાકત વતન કી હમ સે હૈ’ (મન્નાડે, રફી અને સાથીઓ) કૂચસંગીતના તાલમાં સ્વરબદ્ધ કરાયેલું છે, અને કર્ણપ્રિય અસર ઊભી કરે છે. ‘ગમ પે ધૂલ ડાલો, કહકહા લગા લો’ (કિશોર, ભૂપીન્દર) પણ એક વિશિષ્ટ પુરુષ યુગલ ગીત છે. આવાં ગીતમાં ભૂપીન્‍દરનો સ્વર બહુ ખીલે છે. ‘દૂંગી તૈનૂ રેશમી રુમાલ’ (લતા અને સાથીઓ) પંજાબી ધૂન પર આધારિત છે.

    આ તમામ ગીતો સાંભળવાં ગમે એવાં છે, પણ એમાં શિરમોર હોય તો એ છે ફિલ્મનું ટાઈટલ સોન્‍ગ ‘પ્રેમ કે પૂજારી’. આનું કારણ? કારણ એટલું જ કે એ દાદા બર્મને ગાયું છે. ફિલ્મનાં ટાઈટલ શરૂ થાય એ સાથે જ બર્મનદાદાનો પહાડી અવાજ ગૂંજી ઉઠે અને ગીત શરૂ થાય એની અસર જ જુદી! આ ફિલ્મ મેં જોઈ નથી, પણ ગીત સાંભળ્યું ત્યારથી એમ કલ્પેલું કે એનો ઉપયોગ ટાઈટલ સોન્ગ તરીકે જ કરાયો હશે.

    બર્મનદાદાના હિન્દી ઉચ્ચારો એવા છે કે અમુક શબ્દો વારેવારે સાંભળવા છતાં ન સમજાય. જેમ કે, આ ગીતમાં ‘રોજ મગર બઢતા જાયે’માં ‘મગર’ શબ્દ પકડતાં બહુ વાર લાગે, અથવા ‘ફૂલ હમ હજારોં લેકિન ખુશ્બૂ…’માં છેલ્લા શબ્દો પકડવા મુશ્કેલ જણાય. પણ દાદા બર્મનના અવાજનો જાદુ એવો છે કે આ બધું એમાં ઢંકાઈ જાય.

    નીરજ દ્વારા લખાયેલા અને સચીન દેવ બર્મને ગાયેલા આ ગીતના શબ્દો આવા છે:

    प्रेम के पुजारी
    प्रेम के पुजारी
    हम हैं रस के भिखारी
    हम हैं प्रेम के पुजारी
    प्रेम के पुजारी….

    कहाँ रे हिमालय एसा कहाँ ऐसा पानी
    यही वो ज़मीं,
    जिसकी दुनिया दिवानी (2)
    सुन्दरी न कोई जैसी धरती हमारी
    प्रेम के पुजारी …
    प्रेम के पुजारी
    हम हैं रस के भिखारी
    हम हैं प्रेम के पुजारी
    प्रेम के पुजारी….

    राजा गये
    राज गये, ताज गये, बदला जहाँ सारा
    रोज़ मगर बढ़ता जाये, कारवाँ हमारा (2)
    फूल हम हज़ारों लेकिन खुशबू एक हमारी
    प्रेम के पूजारी …
    प्रेम के पुजारी
    हम हैं रस के भिखारी
    हम हैं प्रेम के पुजारी
    प्रेम के पुजारी….

    આ આખું ગીત આ લીન્ક પર સાંભળી શકાશે.


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • અ….ધ….ધ…..! ચીનમાં મગફળીનું વિઘાદીઠ આટલું બધું ઉત્પાદન ?

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    “ A will will find a way ” લોકભારતીના કૃષિસ્નાતક થયા પછી ખેતી વિષયક સુધારા અને નવા નવા પ્રયોગો તો  છેલ્લા 45 વરસથી કરતો રહ્યો છું.પણ ચર્ચાસ્પદ ચીનની ખેતીની ઉત્કર્ષ વિષયક જાણકારી મેળવવા અને ત્યાંના પાકો અને પધ્ધતિઓ નજરે નિહાળવાનો મોકો મને તાજેતરમાં ઓચિંતા મળી ગયો .

    ચીનના પ્રવાસ વિષે ઘણી વાતો કરવાનું મન થાય છે પણ ફરી ક્યારેક વાત. આજે તો મગફળીની ખેતી વિષે જ વાત કરવી છે. એક વાર્તામાં એવું આવે છે કે એક આંધળા અને વાંજિયા વેપારીને ભગવાને પ્રસન્ન થઇ, એક વરદાન માગવા કહ્યું. વેપારી તો માંડ્યો વિચાર કરવા કે શું માગું ? આ કંઇ ખેડૂત નહોતો ! ખેડૂતને તો મોકો મળ્યે માગવાની છૂટ અપાઇ હોય તો વ્યવસ્થિત માગતાંય ન આવડે મિત્રો ! આ તો હતો વેપારી ! એણે વિચાર કરીને કહ્યું “ ભલે ભગવાન ! મારા વચલા દીકરાની વહુને સાતમાળની મેડીએ સોનાની ગોળીએ છાશ ફેરવતી ભાળું !” બોલો ! એક જ વરદાને બેડો પાર થઇ ગયોને?

    આમ ચીનમાં મગફળીને ભગવાનનું આવું વરદાન ફળેલું ભાળ્યું.મગફળીને ગમતા-ફાવતા-ભાવતા બધા પાસા ત્યાં અનુકુળ ભળાયાં. આ સમયે મગફળી ક્યાંક હજુ ઊભી હોય, ક્યાંક ઊપાડવાનું કામ ચાલું હોય, તો ક્યાંક છોડવામાંથી ડોડવા અલગ કરવાનું કામ ચાલતું હોય તો ક્યાંક વળી ચુંટાએલી મગફળીમાંથી ભેજ ઊડાડાતો હોય-તેવી બધી જ પ્રક્રિયાઓ નજરે જોવા જુદા જુદા જુદા વિસ્તારની ૧૫-૧૭ જગ્યાઓના ખેતરોમાં ફર્યાઅને બધું જોયું તેની વાત પર આવીએ.

    જમીન = શેંડોંગ વિસ્તારમાં જમીન થોડી ઉંચાણ-નીચાણવાળી ભલે રહી, પણ બંધારણે ભરભરી,ગોરાડુ-રેતાળ, અને પૂરેપૂરી તાકાતવાળી-ફળદ્રુપ દેખાઇ. વરસાદ થયે વધારાના પાણીનો નીકાલ કરી દેનારી , એટલે તુરતમાં જ આપણે ખેતીકામો શરુ કરી શકીએ, છતાં હાથ-પગ કે ઓજારને માટી ચોટે નહીં. ચીકણી બિલકુલ નહીં-જેથી સુકાયે જમીનમાં તિરાડો પણ પડે નહીં

    એટલે મગફળીના સુયાને જમીનમાં ઉંડા ઉતરવામાં સરળતા રહે, મગફળી પૂરતી વિકસવા પામે અને ઉપાડતી વખતે જલ્દી ખેંચાઇ આવે, એક પણ ડોડવો તૂટે નહીં અને ડોડવા સાથે માટી આવે નહીં.-મગફળી માટે જેવી જોઇએ એવી ઉત્તમ જમીન છે અહીંની ! અહીં જમીનનું એકમ દરેક પાસે જોવા મળ્યું ઘણું નાનું, એટલે થોડી જમીનના હિસાબે ખેડૂતો શેઢા-પાળામાં જરીકેય જમીન બગડવા દેતા નથી. અને ખાતર-પોતર બાબતે પુરતુ ધ્યાન આપી શકે છે.

    બિયારણ ૯૦ ટકા ખેતરોમાં એક્સ્પોર્ટ આઇટમ ‘વર્જિનિયાલોંગ’ નામની જાત વવાએલ જોઇ. પાકવામાં ૧૫૦ દિવસ લેનારી આ જાતમાં ડોડવામાં દાણા ઘણા મોટા હોયછે. વળી ઉભડી જાત હોઇ  બેઠક થડ ફરતે  થોડીક જગ્યામાં ગુચ્છારૂપે હોય છે.એક બહુ થોડા વિસ્તારમાં વવાતી જાત ‘સુજી ‘ આપણી જી-2 જેવી, પણ ‘લોંગ’ કરતાં ડોડવે નાની અને દાણે મતિયાર એવીયે જોઇ. જેને ફોલવામાટે ફોફું આંગળીથી દબાવ્યે તૂટે જ નહીંને ! આ બે જાતો જોવા મળી.

    વાવણી અને એની રીત- ચીનમાં ચોમાસુ બેસે એપ્રિલ-મે માં. વરસાદ તે ટાણે હોય તો ઠીક,  નહીંતો પાણીના તળ છે સાવ છીછરા ! પિયત આપી એપ્રિલ-મે માં જ  મગફળી ઉગાડી વાળે. ખાસ ધ્યાન ખેંચે એવી બાબત અને મગફળીના બમ્પર ઉત્પાદન પર જેની બહુમોટી અસર પડે છે, તે હકિકત એ છે કે અહીં 90 ટકા ખેડૂતો મગફળીની વાવણી મલ્ચિંગ કરીને જ કરે છે. જમીન તૈયાર કરી, વચ્ચે એકફૂટની જગા છોડી, પાવરટીલરની મદદથી દોઢ દોઢ ફૂટ પહોળા ૩-૪ ઇંચ ઉંચા બેડ બનાવે છે અને પછી એ બેડ પર સાવ પાતળા ગેજનું પ્લાસ્ટિક પાથરી તેની ધારો માટીથી દબાવી દે છે. દરેક બેડમાં  9 ઇંચના ગાળે બે લાઇનો આસાનીથી સમાઇ શકે છે. દર લાઇનમાં ૯ ઇંચના અંતરે  પ્લાસ્ટિકશીટમાં નાનાં કાણાં પાડી, મગફળીના બે બે બીજ હાથથી  થાણી, બે બેડની વચ્ચે રાખેલી એક ફૂટવાળી ચરમાં પિયત આપી દે છે. બીજ પણ ઘણું ઓછું વપરાય, બેડ રીજીને પીવે એટલે જમીન કઠ્ઠણ થાય નહીં, મલ્ચિંગ હોવાથી અંદર ગરમી જળવાઇ રહે, ઉગાવો વહેલો અને પૂરતો મળે, વળી નિંદામણ ઉગે નહીં ને ફૂગજન્ય રોગો લાગે નહીં- પાક જલ્દી ધાર્યા દિવસોમાં પૂર્ણ થાય. ટપક પધ્ધતિ કોઇ પણ ખેતરોમાં જોવા મળી નહીં ! શું ટપક પધ્ધતિ તેઓને નહીં ફાવતી હોય ?

    હપ્લાસ્ટિકવાળો હોવાથી ભલે ચારાના ઉપયોગમાં ઓછો લેતા હોય પણ અહીંયા મકાઇનો પાક પણ ખૂબ લેવાતો હોઇ ચારામાં એનો ઉપયોગ થતો હોય છે. એટલે જે કાંઇ દેશી ખાતર થાય તેનાથી બધા થોડી થોડી જમીનો હોઇ ખાતરથી ધરવી દેતા હોય છે. ઉપરાંત ત્યાં અલગ અલગ પાક માટેના જરૂરી તત્વોવાળા ખાસ રાસાયણિક ખાતરોના પેકીંગ મળતા હોઇ, મગફળી માટેનું ખાસ રા.ખાતર પણ ખેડૂતો ભરપેટ વાપરતા ભાળ્યા. ચાલુ વરસે વરસાદ જ એવો રહ્યો છે કે પિયત આપવાની જરૂર પડી નથી. જરૂરિયાત ઉભી થયે મલ્ચિંગબેડની બાજુની નીકોમાં રેલાવીને પિયત કરે છે મગફળી રીજીરીજીને પાણી પી લે છે.

    વાતાવરણ – એપ્રિલ કે મે મહિનામાં ગુજરાતમાં આપણે જ્યારે ૪૨-૪૩- કે ૪૫ ડીગ્રી સુધી ગરમી હાહાકાર મચાવતી હોય એવા ટાણે પણ શિંડોંગ વિસ્તારમાં ગરમીનો પારો ૨૫ -૨૮ કે બહુ બહુ તો ૩૦ થી આગળ વધતો નથી.માફકસરનું વાતાવરણ અને ઝરમરિયા વરસાદનું પ્રમાણ સારું એ મગફળીને બહુ ફાવે ! વળી ગરમી અતિ નહીં એટલે રોગ-જીવાતનો ત્રાસ પણ ઓછો..એટલે મગફળીના વધુ ઉતારા બાબતના રહસ્યમાં ત્યાંની ‘ઉત્તમ જમીન’ ની જેમ ત્યા નું મગફળી ને ‘ માફક એવું હવામાન’ પણ એક છુપું રહસ્ય જ છે.

    પાક પધ્ધતિ – એક ખેતરમાં અમે મગફળીની બેઠક ઓછી જોઇ-એને પ્રશ્ન કરતાં જવાબ મળ્યો કે તેઓ છેલ્લા ચાર વરસથી આ જમીનમાં સતત મગફળી જ પકાવે છે. બોલો ! બધાજ ખેડૂતો દર વરસે ‘પાકની ફેરબદલી’ અહીં કરે છે. ખેતીમાં આ વાત  જેવીતેવી ન ગણાય ભાઇઓ ! ખેતરો પર નજર કરતાં એકધારી મગફળી કે એકધારી મકાઇ ક્યાંય દેખાયાં જ નથી. બધી જગાએ મગફળી, મકાઇ, સોયાબીન, કે અન્ય શાકભાજી જેવા પ્લોટો બાજુબાજુમાં ઉભેલા ભળાય છે એનો અર્થ જ એમ થાય છે કે ખેડૂતો માત્ર એક પાક નહીં , બીજા પાકોને સાથે રાખી પાકની ફેરબદલી કરતા રહે છે. જમીનના ઉપર-નીચેના સ્તરનું સમાન ચૂસાણ, કસની સમતૂલામાં બેલેંસ, અને રોગ-જીવાતમાં રાહત- ત્રણથરા લાભ દેનારી આ પધ્ધતિ  ભલેને સરકારના આદેશ પછીય આચરાતી હોય  પણ તે મગફળીના મબલખ ઉતારામાં વજનદાર પરિબળ બની રહે છે.

    કાપણી – બસ, અમારું શેંડોંગ વિસ્તારમાં પંહોચવું અને મગફળીનું પાકપર આવવું સાથોસાથ બન્યું. કોઇ કોઇ ખેતરો હજુ ઉભા હતા પણ તેતો ઉપાડવાની અગવડતાના હિસાબે ! બાકી બધાજ પ્લોટો ઉપાડવાને પૂરા લાયક. અરધ ઉપરના ખેતરોમાં ઉપાડવાનું કામ ચાલું હતું. એમાંય બેત્રણ દિવસ પહેલા ભારે વરસાદ થયેલો. એટલે પાકી ગયેલ પ્લોટો ખેંચી ન લે તો ઉગી જવાની પૂરી ભીતિ ! સૌ બને એટલી ત્વરાથી ખેંચવાનું કામ કરી રહ્યા હતા.

    કોઇ બન્ને હાથથી છોડવા પકડી ઉપાડે- તો કોઇ વળી વાંકા આંકડિયાવાળું પંજા ટાઇપનું સાધન એક હાથે છોડનીચે ભરાવી ઉચકાવે ને બીજા હાથે છોડ ખેંચે .એમતો કોઇ પાવર ટીલરના હળિયાનું ચવડું કે ઉભી ઓળો નીચેથી રાંપ કાઢીને  છોડવા વીણી લેતા ભાળ્યા. છોડવાને જમીનમાંથી ખેંચીને ત્યાંને ત્યાં જ બેડ પર જ પથારી કરી દેતા હોય છે.

    ખેંચી લીધાપછી કાતો ખેતરમાં તેને હાથથી ચૂંટીને કે લાકડાસાથે ઝૂડીને અલગ કરે છે. અને સગવડ હોયતો ખેતરમાં , નહીંતો બાજુના રસ્તા કે પાકા રોડ- પછી તે અંદરગાળાના હોય કે ભલેને હોય મોટો હાય-વે ! ક્યાંક એક સાઇડ તો ક્યાંક બન્ને સાઇડે માત્ર વાહન ચાલે તેટલી જગ્યા છોડી સૌ મગફળી સૂકાવે છે. આપણે ત્યાં જેમ મોર, વાઘ કે સિંહને નુકશાન કરીએ એટલે રાષ્ટ્રિયગુનો બને છે તેમ મગફળી જાણે ચીનનો રાષ્ટ્રિય-રક્ષિતપાક હોય તેમ કોઇ વાહન ચાલક મગફળીને કચરવાનું  સાહસ કરતા નથી.જ્યારે આપણે ત્યાં આમ રોડ રોકીને મગફળી સુતી હોયતો ? પીલીને તેલ જ કાઢી નાખેને ?

    ઉત્પાદન – એક ગુંઠા[૩૩ફૂટ્લંબાઇ ને ૩૩ફૂટ પહોળાઇ] જમીનમાં અઢી ફૂટના ગાળે, વચ્ચે એક ફૂટની જગા છોડી દોઢ ફૂટ પહોળા બેડ બનાવાયતો ૧૩ બેડ બને.અને અઢાર ઇંચ પહોળા અને  ૩૩ ફૂટ લાંબા એક બેડમાં ૮ ઇંચના ગાળે બે હારમાં ૯ ઇંચના અંતરે પ્લાસ્ટિકમાં કાણા  પાડીએતો  ૪૪+૪૪=૮૮ કૂલ મળી ૧૧૪૪ કાણા એક ગુંઠામાં આવે.અને દરેકમાં બેબે બીજ ચોપીએ તો ૧૧૪૪ બેતડિયા છોડવા મળે .અરે ! માની લઇએ કે થોડા ડૂલ પડી ગયા છે….૪૪ ખાલી છે. તો પણ ૧૧૦૦ છોડવાનો ઉછેર તો પાક્કો જ !

    ઉભા પ્લોટમાથી અમે ઘણી જગાએથી છોડ ખેંચી ,બેતડિયા છોડના ડોડવાની ગણતરી કરી જોઇ. કૂલ ડોડવામાંથી એવરેજ ૩૩ ટકા અણવિકસિત અને ૬૬ ટકા વિકસિત શીંગો દેખાણી. અને આવી. વિકસિત શીંગોની સંખ્યા એક બેતડિયા છોડવામાં ૨૭ થી માંડી ૩૩ સુધી સંખ્યામાં એટ્લેકે સરેરાશ ૩૦ શીંગો ગણતરીમાં લઇએ તો 3૩૩,૦૦૦ કૂલ શીંગોની સંખ્યા મળે..અમે સુકી શીંગનું વજન કરી જોયું તો કીલોમાં ૩૫૦ શીંગ તોળાઇ. આ માપે એક ગુંઠામાં ૯૪ કીલો અને આપણા નાના વિઘે ૧,૫૦૮ કીલો વજન ઉતરે ! પણ આ તો થઇ ચીનની ધરતીની વાતો કે જ્યાં મગફળીને બાર બાદશાહીની અનુકુળતા મળતી રહે રહે છે.

     આપણે ત્યાં આવું કરવાનો પ્રયોગ આરંભ્યો –  ચીનમાં અઠવાડિયું રહી, મગફળીની ખેતી નજરે જોઇ-તેનો અભ્યાસ કર્યા પછી આપણી-સૌરાષ્ટ્રની ધરતીપર એકસાથે ચીન ગયેલા છ ખેડૂતો અને બીજા સાથીમિત્રોએ મળી, જુદાજુદા વિસ્તારની વીસેક વાડીઓમાં ચાલુ ઉનાળા [૨૦૧૧] દરમ્યાન જ મલ્ચીંગ પધ્ધતિથી ઊભડી મગફળી ઉગાડવાનો પ્રયોગ આરંભ્યો  તે પૈકી અમારા પંચવટીબાગમાં પણ પ્રયોગ હાથ ધર્યો.

    વિગત એક એકર જમીન પસંદ કરી, તેમાં ચોમાસુ પાક તરીકેના કપાસની સાંઠી ખેંચી લઇ, ટ્રેકટર દ્વારા દાંતી-રાંપ ચલાવી,ઝીણી પાંહવાળું પસિયું તૈયાર કર્યું. જમીનના ત્રણ સરખા ભાગ કરી પહેલા ભાગમાં ટ્રેકટરના વાવણિયાથી બીજ વાવી, ક્યારા-ધોરિયા બનાવી, રેલાવીને પિયત દીધું. બીજા ભાગ માં વચ્ચે ૩૦ સે.મી. જગ્યા છોડી ૬૦ સે.મી ની પહોળાઇવાળા અને ત્રણેક ઇંચ ઉંચા એવા 16 બેડ બનાવ્યા અને એનાપર મીની ટ્રેક્ટરની મદદથી મગફળીના ૩ ચાસ વાવ્યા અને ચરમાં પિયત આપી બેડ રીજાવ્યા ત્રીજા ભાગમાં આવા જ બેડ બનાવી, તેનાપર ૫ માઇક્રોન પાણી કલરની પ્લાસ્ટિક શીટ પાથરી, એના પર ૨૦ બાય ૨૦ સે.મી. ના અંતરે કાણાં પાડી ૩ લાઇનોમાં હાથથી બીજ ચોપ્યા અને ચરમાં પિયત આપી બેડ રીજાવ્ય

    નોંધ ત્રણેય પ્લોટમાં સમયે સમયે થયેલ વિવિધ કામગીરીની વિગત આ મુજબ છે.

    પ્લોટ પધ્ધતિ વિસ્તાર

    (ગુંઠા)

    વાવણી

    તારીખ

    અપાએલ

    પિયત

    કાપણી

    તારીખ

    મળેલ

    ઉત્પાદન

    ભૂંડ થકી

    બગાડ (૧૦%)

    વિઘા દીઠ

    શું ગણાય?

     

    ધોરિયા-ક્યારા ૧૩.૩૩ ૩-૨-૧૧ ૩-૬-૧૧ ૨૫૦ કીલો ૨૫ કીલો ૩૩૦ કીલો
    ખુલ્લા ગાદી-ક્યારા ૧૩.૩૩ ૩-૨-૧૧ ૩-૬-૧૧ ૪૦૦ કીલો ૪૦ કીલો ૫૨૮ કીલો
    ગાદીક્યારા પર પ્લાસ્ટિક ૧૩.૩૩ ૩-૨-૧૧ ૩-૬-૧૧ ૪૪ કીલો ૪૪ કીલો ૫૮૧ કીલો

    અમારો અભિપ્રાય  – એક વાતની ચોખવટ ન કરી લઉં તો પ્રયોગને અન્યાય થવાની પૂરી ભીતિ છે. અમારા વિસ્તારમાં ભૂંડડાનો એટલો બધો ત્રાસ છે કે ન પૂછો વાત ! રોજ રાત્રે એક એકરની મગફળીમાં પાંચ જગાએ બેબે માણસ રખોલું કરવા સુતા હતા તોય બધા પ્લોટમાં કેટલોય પાક તોડી-વછોડી-બગાડી નાખ્યો હતો. એટલે ખરું કહીએ તો જે ઉતારો મળ્યો છે તેમાં કમસેકમ ૧૦ ટકા ઉતારો વધુ ગણવો જોઇએ.

    પ્રયોગના પરિણામની વાત કરીએ તો…….. 

    પ્લોટ નં [૧]  –ધોરિયા-ક્યારા પધ્ધતિ — મગફળી વાવવાની આપણી પરંપરાગત- ધોરિયા-ક્યારા પધ્ધતિમાં સૌથી ઓછો ઉતારો મળ્યો છે.

     પ્લોટ નં[૨] ખુલ્લા ગાદી-ક્યારા પધ્ધતિ આ પ્લોટનો ઉગાવો-ઉતારો ધોરિયા-ક્યારા વાળા પ્લોટ કરતાં ખૂબજ સારો મળ્યો.

     પ્લોટ નં. [૩] ગાદી-ક્યારા ઉપર પ્લાસ્ટિક આવરણ – આ પ્લોટનો ઉતારો સૌથી વધારે મળ્યો.

            હા, એક વાતે મુંઝાયા ! મલ્ચીંગમાં વપરાએલ પ્લાસ્ટિકમાં મગફળીના સૂયાએ આરપાર નીકળી નીચે ડોડવાનું બંધારણ બનાવેલું હોઇ છોડવા ખેંચતાંવેત પ્લાસ્ટિક તૂટી જઇ, કેટલુંક છોડવાની સાથેજ ગુંચવાઇ ગયેલી સ્થિતિમાં સાથે આવવા માંડ્યું. હવે? જો એને જુદું ન કરીએ તોતો અમારા ઢોરાનો ચારો [ જે મગફળીના વજનથી પણ વધારે જથ્થામાં હોય] બધો ઉકરડે નાખ્યા જેવો થઇ જાયને ? જેથી નીરણ બચાવવા પ્લાસ્ટિકને છોડવાથી અલગ કરવાનું ગોઠવવું પડે.

    એટલે ઉનાળા દરમ્યાન ઉભડી મગફળીના વાવેતર માટે આ ત્રણ પધ્ધતિઓ પૈકી ગાદીક્યારા ઉપર પ્લાસ્ટિક આવરણવાળી પધ્ધતિ પંચવટીબાગમાં સર્વશ્રેષ્ઠ સાબિત થઇ છે. ચોમાસાની રુતુમાં કઇ પધ્ધતિ  કેવું પરિણામ આપી શકે તે ચોમાસાની રુતુમાં પ્રયોગ કરીને પૂરવાર કરવું પડે.

    સાથોસાથ બીજી પણ એક વાત કરી દઉ કે જે ખેડૂતને પ્લાસ્ટિક મલ્ચ અને એની કેટલીક વધારાની ચીવટ મુદ્દે નહીં પહોંચી શકાય તેમ લાગતું હોય તેમણે ખુલ્લા ગાદી-ક્યારા પધ્ધતિનો અમલ કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે. પણ આ પ્રયોગનું પરિણામ જાણ્યા પછી ઉનાળા દરમ્યાન મગફળીનું વાવેતર ધોરિયા-ક્યારા પધ્ધતિથી તો જેમણે ખેતીને ખાડામાં નાખવાનો નિર્ણય કર્યો હોય તેમણે જ કરવું.


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • ‘વિજ્ઞાન વિચાર’ : પ્રકરણ ૧લું – વિજ્ઞાન એટલે શું’? – વિજ્ઞાનની પધ્ધતિ – નિયમસિદ્ધિ

    આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.

    આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.

    સંપાદન મડળ – વેબ ગુર્જરી


    પોપટલાલ ગોવિંદલાલ શાહ

    “નિયમશોધન” પછી વિજ્ઞાનની પદ્ધતિનું ચોથું પદ “નિયમસિદ્ધિ”નું આવે છે. ન્યાયશાસ્ત્રના કે નીતિશાસ્ત્રના નિયમો કરતાં વિજ્ઞાનના નિયમોની સિદ્ધિ વિલક્ષણ પ્રકારની હોમ છે. પ્રયોગ કે નિરીક્ષણથી નિયમો સિદ્ધ થાય નહિ ત્યાં સુધી નિયમોને સિદ્ધાન્તનું રૂપ આપી શકાતું નયી. સત્યનો જ વિજય થાય છે, અને પ્રામાણિકતા જ  વ્યાપારમાં ફત્તેહ બાપે છે એ નિયમોના અપવાદ જોઇને સાધારણ મનુષ્યની એ નિયમોમાં શ્રદ્ધા નષ્ટ યાય છે પરંતુ વિજ્ઞાનના સિદ્ધાન્તો સ્વીકારાતાં પહેલાં તેમની એટલી સખ્ત કસોટી થાય છે કે પછી થાય છે એમ સિદ્ધ થાય તો જ કાર્યકારણનો સંબંધ સિદ્ધ કરી શકાય, અને તે પણ  ક્યારે બને કે પ્રયોગો કે નિરીક્ષણમાં બીજી બધી પરિસ્થિતિ તદ્દન સરખી જ રાખવામાં આવી હોય. પ્રયોગની બીજી બધી પરિસ્થિતિ સરખી જ રાખવી અને ફકત એક કારણરૂપ પરિસ્થિતિ જુદી રાખીને તેને પ્રયોજકની ઈચ્છા પ્રમાણે નજીક કે દૂર કરી શકાય એવી વ્યવસ્થા કરવી ઘણી કઠિન છે. પણ તેવા નિર્ણાયક પ્રયોગો વિના વિજ્ઞાનના સિદ્ધાન્તો નિશ્ચિત યવા મુશ્કેલ છે.
    શીત જ્વરનુકારણશોધન
    વૈજ્ઞાનિક પદ્ધતિનાં એકબે દૄષ્ટાંત આપવાથી આ વિષય જરા સરળ થરો. સાધારણ શીતજ્વર (ટાઢિયો તાવ)નું કારણ વર્ષો સુધી ઝેરી હવા મનાતું. ભેજવાળી જમીનમાંથી ઝેરી દવા નીકળે છે અને આ હવાથી ટાઢિયો તાવ આવે છે એમ મનાતું. મેલેરિયા અંગ્રેજ શબ્દનો અર્થ જ એ કે “ખરાબ હવા”. અત્યારે આપશે જાણીએ છીએ કે મચ્છરથી આ રોગ થાય છે. પરંતુ તે સિદ્ધ થતાં પહેલાં વર્ષો સુધી ઘણાએક વેજ્ઞાનિકોને તે વિષે પ્રયાસ કરવો પડ્યો હતો.

    પહેલાં તો મેલેરિયા સંબંધી ખરી હકીકતો-તથ્યો-મેળવવાનું કામ કઠિન હતું. દાક્તર અમુક દવાથી તાવ જાય છે એ માનીને જ સંતોષ માનતા. આ તાવથી લોહીમાં શુ ફેરફાર થાય છે તેનો અભ્યાસ જ નહોતો થયો : જંતુવિદ્યાની પ્રગતિ સાથે એમ નક્કી થયું કે મેલેરિયાના કેસમાં લોહીમાં અમુક જાતનાં પરોપજીવી જંતુઓ હંમેશ દેખાય છે. તેર્મા પણ ત્રણ જાતના મેલેરિયા તાવમાં જુદાં જુદાં  જંતુઓ દેખાય છે. આ બધાં તથ્યોનું વર્ગીકરણ કરતાં એક પ્રકારનાં જંતુઓ અને મેલેરિયાનો સંબંધ જણાયો. પરંતુ કેવલ બહારના સંબંધથી અંજાઈ ન જતાં આ વ્યાપ્તિસંબંધને  નિર્ણાયક પ્રયોગથી સિદ્ધ કરવાની જરૂર હતી. આ જંતુઓનો નવો  સમુહ બનાવીને તેને તદ્દન તંદુરસ્ત મનુષ્યના શરીરમાં દાખલ કરતાં મેલેરિયા લાગુ પડતો જોવામાં આવ્યું, પરંતુ તેનો અને મચ્છરનો સંબંધ શું? મેલેરિયાનાં જ’તુએા કેવી રીતે જીવે છે, મરે છે, જન્મે છે અને જન્મ આપે છે એ સર્વ હકીકતો મેળવતાં વર્ષો થયાં.

    આ કાંમ સર રોનલ્ડ રોસના હાથે કલકત્તામાં થયું હતું. તેમણે સિદ્ધ કર્યું કે આ જંતુઓ મચ્છરના શરીરમાં જ જીવી શકે છે; અને એક મનુષ્યને ચઢેલો મેલેરિયા બીજા મનુષ્યતે આ મચ્છર મારફત ચઢી શકે છે, આ સિદ્ધ કરવાનું કાંઈ સહેલું નહોતું કારણ કે મચ્છરની આશરે ત્રણસો જાત છે; પણ તેમાંથી અમુક જાત જ અને ખાસ ડરીતે “એનોફેલીસ” નામના ખૂ’ધવાળા મચ્છરો જ આ જ’તુઓને નિભાવી રકે છે. આ જાતના મમ્છરો જુદા પાડીને તેમાંથી જ’તુઓનાં જીવન, વૃદ્ધિ અને મૃત્યુ સબ’ધી સર્વે હકીકત મેળવતાં સર રોનલ્ડ રોસને ઘણાં વર્ષો લાગ્યાં. ત્યાર પછી પણ મચ્છરો અને મેલેરિયાના સંબંધ વિષે નિર્ણાયક પ્રયોગો કરવા પડ્યા હતા.  આ પ્રયોગોને અ’તે નકકી ચયુ’ કે સાધારણ તંદુરસ્ત માણસને મેલેરિયા લાગુ પડવાનો એક જ રસ્તો તેના લોહીમાં અમુક જાતનાં મચ્છરની મારફત આ રોગના જંતુ દાખલ થવાં જોઇએ છે; એટલે કે તે જાતના મચ્છરોનો નાશ કરવામાં ઓવે તો, આ જંતુઓ બીજા સાજા મનુષ્યોમાં દાખલ થઈને પોતાનું જીવતચક પૂરૂં કરી શકે નહિ, અને મેલેરિયા રોગનો નાશ થઈ જય.

    સાજા મનુષ્યને મેલેરિયાવાળા મચ્છર કરડવાથી તે રોગનાં જ’તુ તેના લોહીમાં દાખલ શાય છે અને મચ્છરદાની વગેરે વડે આ મચ્છરોને દૂર રાખવાથી શીતજ્વ૨ લાગુ પડતો નથી એ પણ નિર્ણાયક પ્રયોગોથી સિદ્ધ થયું છે. કોઈદન એ આ શીતજ્વર માટે અનુભવસિદ્ધ દવા તેનું પણ વૈજ્ઞાનિક અન્વેષણ થયું છે; આ દવાથી લોહીમાંના જતુ ઉપર યતી અસર નોંધવાથી આ ૬વા! કેવળ અનુભવસિદ્ધ નહિ પણ  વિજ્ઞાનસિદ્ધ ગણાય છે,કારણ કે તે રોગના મૂળ કારણરૂપ જંતુનો નાશ કરે છે એમ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે.

    આ પ્રમાણે કાર્યકારણ સંબંધ સ્થાપિત થવાથી મેલેરિયા દૂર કરવાનાં સાધનો પણ જાણીતા થયાં; અતે હવે દરેક ગામમાં મેલેરિયા દૂર કરવાને મચરોનો અને તેપતે ઊછરવાને અનુકૂળ ખાબોચિયાંને નાશ કરવાનો, અથવા તો તેમાં ઘાસતેલ નાખીને તેનાં ઈંડાંને મારી નાખવાનો રિવાજ સાધારણ થઇ પડયો છે. હિંદુસ્તાનમાં દર વર્ષે લાખો માણસો આ રોગથી જ મરે છે, તેમાં કંઇ ધટાડો થવાનો સંભવ હવે લાગે છે. મેલેરિયાની માફક પીળા તાવનું કારણ પણ અમુક જતના મચ્છર છે એમ સિદ્ધ થયું છે અતે તે થયા પછી પનામાની નહેરના પ્રદેશો, અતે દક્ષિણ આક્રિકાના કેટલાએક પ્રદેશો વસવાને લાયક યયા છે. આ લાભ કરતાં કાર્યપદ્ધતિની ચોકસાઈ વધારે અગત્યની છે; અને તે ઉપર ષ્યાન આપવાનું છે.

    નિર્ણાયક પ્રયોગ

    વિજ્ઞાનની પદ્ધતિમાં નિર્ણાયક પ્રયોગનું સ્થાન સચોટ દર્શાવનાર એક પ્રસંગ પાશ્રરના જીવનમાં પ્રસિદ્ર છે. એકવાર કૃત્રિમ રીતે શીતળા કઢાવ્યા પછી બીજી વાર શીતળાનો રોગ મતુષ્યને થતો નથી અથવા ધણા જ નરમ રૂપમાં યાય છે એ પ્રયોગોથી જેનરે સિદ્ધ કર્યું હતું. તેવા જ પ્રયોગો પાશ્રરે “એન્થ્રાક્સ ”ના સંબંધમાં કર્યા હતા અને તેણે બનાવેલી રસીનો ઉપયોગ કરવાથી આ રોગ થતો નથી અને થાય તો ઘણા જ જીણા રૂપમાં થાય છે એવુ પ્રતિપાદિત કર્યું હતું. પણ પાશ્રરનો આ વિચાર કોઈએ કબૂલ રાખ્યો નહિ, અને જાનવરના દાકતરો, અને ઢોરોના અનુભ્રવીઓએ તેના અભિપ્રાયને હસી કાઢ્યો. અંતે છાપાંઓમાં તેના વિરુદ્ધ ઘણી ટીકા થઈ, બધુ વાતાવરણ તેની પ્રતિકૂળ હતું, પરંતુ  છેવટે નિર્ણાયક પ્રયોગ કરવાની શરતો ઘડાઈ અને પ્રાચીન સમયના શાસ્ત્રાર્થની માફક એક વિજ્ઞાનાર્થ – વિજ્ઞાનયજ્ઞ – યોજવામાં આવ્યો. પચાસ ઘેટાં લેવામાં આવ્યાંઃ પચીસને એન્થ્રાક્સનાં મૃત જંતુઓમાંથી બનાવેલી રસી મૂકવાર્માં આવી, બીજાં પચીસને એમને એમ રહેવા દેવામાં આવ્યો. થોડા દિવસ પછી આ બધાં ઘેટાંને સાથે એન્થ્રાકસનાં જીવતાં જ’તુઓની બહુ જલદ રસી મૂકવામાં આવી. પછી બધાં ઘેટાંને ભેગાં કરવામાં આવ્યાં અને મોટા દાકતરો, બનુભવીઓ, અને  વૈજ્ઞાનિકોની કમિટીની દેખરેખ નીચે રાખવામાં બાવ્યાં. ૧૮૮૧ના જૂન માસની બીજી તારીખે આ પ્રયોગનું છેવટ આવવાનું હતું. તે દિવસનો ઉત્સાહ અને આનંદ વિજ્ઞાનના ઇતિઠાસમાં ચિરસ્મરણીય રહેશે. જે પચીસ ધેટાને પહેલેથી રસી મૂકવામાં આવી નહોતી તે બધાં તે જ દિવસે અથવા રાત્રે એન્થ્રાક્સથી મરી ગયાં, પરંતુ બીજાં પચીસ જેને પહેલેથી રસી મુકેલી હતી, તે તદન સાજા રહ્યાં. આ સભામંડપમાં જે વખતે પાશ્ચર દાખલ થયો તે વખતે તેને મળેલો તાળીઓનો આવકાર અપૂર્વ પ્રકારનો હતો. પાશ્ચરે પોતાના પ્રયોગોની ચોકસાઈથી વિજ્ઞાનની પદ્ધતિ અને વિજ્ઞાનની ઉપયોગિતા વિષે બધી શંકા દૂર કરી હતી. આ જ પદ્ધતિનો ઉપયોગ પછીથી પાશ્ચરે હડકવાના રોગ ઉપર કર્યો હતો, અને તેના આ અન્વેષણથી મનુષ્યના અસાધ્ય રોગોમાંથી એક રોમ ઓછો થયો છે. પાશ્ચરને નિર્ણાયક પ્રયોગ ઉપર એટલી બધી શ્રધ્ધા હતી કે તે હમેશ તેના પ્રયોગની બે જોડ રાખતો, પણ તે કેટલાએક વેપારીઓ ખોટા હિસાબના ચોપડા રાખે છે તેવી દૃષ્ટિએ નહિ; બંને પ્રયોગમાં પરિસ્થિતિ એટલી તદ્‌ન સરખી જ રાખીને નિર્ણાયક કારણનો ભેદ રહે એટલો જ ફેર રાખી ખરુ કારણ શોધવાને માટે જ.

    ઉપરના વિવેચનથી વિજ્ઞાનના સિધ્ધાન્તો સ્વીકારાતા પહેલાં કેટલી સખત કસોટીમાંથી પસાર થાય છે તેનો ખ્યાલ આવશે. હકીકતો મેળવી, તેમાંથી તથ્ય છૂટા પાડી, તેમનું વર્ગીકરણ કરીને નિયમો મેળવવામાં આવે, અથવા તો કેવળ કલ્પનાથી નિયમો  પ્રતિપાદન કરવામાં આવે, તોપણ છેવટની કસોટીમાંથી  છૂટવાને ધણા જ થોડા સિદ્ધાન્તો ભાગ્યશાળી નીવડૅ છે, અમુક ઘટના કે અમુક સૃષ્ટિક્રિયાની સમજુતી માટે નિયમરૂપ અમુક કૂંચીથી બધી શંકાના ઉત્તર મળે તો જ તાળું ખુલી શકે.; તે વિષયનાં બીનતથ્યનો ખુલાસો મળે, બધાં તથ્યોની સાથે બંધબેસતી ચાય તો જ તે કૂંચી સ્વીકારાય છે, અને નિયમનો આદર થાય છે, પરંતુ તેમાં કાંઈ પણ ત્રુટિ દેખાય તો તે કૂંચી નાંખી દઇને બીજી બનાવવી પડે છે. વૈજ્ઞાનિક અન્વેષણના કારખાનામાં આવી નકામી પડેલી કૂંચીઓ અસંખ્ય છે. આ સંબંધમાં પ્રખ્યાત પ્રયોગશાસ્ત્રી ફેરેડેએ કહ્યું હતું કે  “વૈજ્ઞાનિક અન્વેષકના મનમાંથી પસાર થતા અસંખ્ય વિચારો અને કલ્પનાઓમાંથી કેટલા મોટા ભાગનો નાશ પોતાના હાથે જ પોતાની તીવ્ર વિવેચક બુદ્ધિ અને સખ્ત ટીકાને લીધે થાય છે તેનો ખ્યાલ સાધારણ મનુષ્યને આવી શકે જ નહિ.” આ મનોવ્યથા વૈજ્ઞાનિક અન્વેષકને કેટલો ત્રાસ આપે છે એ કવિ ઉમાશંકર જોષીએ “જ્ઞાનસિદ્ધિ (એક વૈજ્ઞાનિકની આત્મકથા) ” એ કાવ્યમાં સુંદર અને સચોટ રીતે વર્ણવ્યું છે. “ વિજ્ઞાન અને રસવૃત્તિ ” એ પ્રકરણમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


    હવે પછીના અંશમાં બીજાં પ્રકરણ “વૈજ્ઞાનિક વૃત્તિ” વિશે વાત કરીશું.


    ક્રમશઃ


  • હરિત ક્રાંતિ પછીનું લાલ ચિત્ર

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    નાગરિક સન્માનોની મોસમમાં કૃષિવિજ્ઞાની એમ.એસ.સ્વામીનાથનના નામની ઘોષણા સર્વોચ્ચ ભારતીય નાગરિક સન્માન ‘ભારતરત્ન’ માટે કરવામાં આવી. સૌ જાણે છે એમ દેશને અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બનાવવામાં તેમનો સિંહફાળો હતો, અને તેમને વાજબી રીતે જ ‘હરિત ક્રાંતિના પિતામહ’ તરીકે સંબોધવામાં આવે છે. દેશ જે સમયે અન્નસંકટ અનુભવી રહ્યો હતો, વધતી જતી વસતિની માંગની સામે ઉગાડાતા અન્નનો પુરવઠો પર્યાપ્ત નહોતો. દેશને એ પરિસ્થિતિમાંથી બહાર કાઢીને સ્વાવલંબનના માર્ગ પર લાવી મૂકવો એ જેવીતેવી સિદ્ધિ ન ગણાય.

    આ ઘટનાને હવે અડધી સદી કરતાં વધુ સમય વીત્યો. ધ્યેય સિદ્ધ થઈ ગયું. હવે અન્નક્ષેત્રે દેશની પ્રવર્તમાન સ્થિતિ શી છે? નવેમ્બર, ૨૦૨૩માં કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય અંતર્ગત કાર્યરત ‘ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચ’ (આઈ.સી.એ.આર.)ના જમીન વિજ્ઞાની સોવેન દેબનાથ અને પશ્ચિમ બંગાળના કૃષિસંશોધન ક્ષેત્રે અગ્રણી ગણાતા બિધાનચંદ્ર ઋષિ વિશ્વવિદ્યાલય તેમજ તેલંગણાસ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રીશનના અન્ય અગિયાર વિજ્ઞાનીઓએ નવેમ્બર, ૨૦૨૩માં એક મહત્ત્વનો અભ્યાસ પ્રકાશિત કર્યો, જેમાં જણાવાયું છે કે હરિત ક્રાંતિએ ભારતને ખોરાકી સુરક્ષા સિદ્ધ કરવામાં મદદ કરી છે, પણ પોષણક્ષમતા સાથે સમાધાન કરીને. એ મુજબ, વધુ ઉત્પાદન મેળવવાના પ્રયત્નોમાં દેશના મુખ્ય અનાજ ગણાતાં ચોખા અને ઘઉંનાં પોષણમૂલ્યો એ હદે બદલાઈ ગયાં છે કે લોકો માટે તેના આહારનું મહત્ત્વ સાવ ઘટી ગયું છે. ઉત્પાદનના જથ્થા પાછળ પડવાની દોડમાં આ છોડનાં જનીન એ હદે બદલાઈ ગયાં છે કે જમીનમાંથી અનાજ સુધી પોષણ પહોંચાડવાનું પાયાનું કામ એ કરી શકતાં નથી. આ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે આ વિજ્ઞાનીઓએ ચોખાની સોળ અને ઘઉંની અઢાર જાત ઉછેરી હતી. 1960ના દાયકા પછી ચોખા અને ઘઉંના 1,500 નમૂના ચલણી બન્યા હતા. દેશની વિવિધ કૃષિસંસ્થાઓના નિષ્ણાતો સાથેની ચર્ચા પછી એમાંથી પસંદગી કરાઈ હતી.

    દેશના લોકોની ઉર્જાની જરૂરિયાતમાંથી અડધીઅડધ એટલે કે પચાસ ટકા જરૂરિયાત ચોખા અને ઘઉં થકી પૂર્ણ થાય છે. અને છેલ્લા પચાસેક વરસોમાં એનું ખોરાકી મૂલ્ય ઘટીને ૪૫ ટકા થઈ ગયું છે. આ દર રહ્યો તો ઈ.સ.૨૦૪૦ સુધીમાં આ બન્ને અનાજ માનવ માટે પોષક્ષમતાની દૃષ્ટિએ કશાં કામનાં નહીં રહે.

    જો કે, ઘટતાં જતાં પોષણમૂલ્ય ઉપરાંત વધુ ફિકર તેમાં વધતા જતા ઝેરી તત્ત્વોના પ્રમાણની છે. છેલ્લા પચાસ વર્ષમાં ચોખામાં જસત અને લોહતત્ત્વનું પ્રમાણ ઘટીને ૩૩ ટકા અને ૨૭ ટકા તેમજ ઘઉંમાં તે અનુક્રમે ૩૦ ટકા અને ૧૯ ટકા થયું છે. તેની સરખામણીએ ચોખામાં આર્સેનિક જેવા ઝેરી તત્ત્વનું પ્રમાણ ૧.૪૯૩ ટકા જેટલું, અધધ કહી શકાય એ હદે વધ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણા રોજિંદા આહાર જેવું આ અનાજ પોષક તો રહ્યું જ નથી, બલ્કે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની રહ્યું છે.

    ચોખા અને ઘઉંના પોષણમૂલ્યમાં થયેલા આવા ‘ઐતિહાસિક’ પરિવર્તન બાબતે વિજ્ઞાનીઓએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે આ સ્થિતિ દેશમાં બિનચેપી રોગોના વધતા જતા પ્રમાણમાં ઓર ઉમેરો કરશે અને પરિસ્થિતિને બદથી બદતર બનાવશે.

    હરિત ક્રાંતિને કારણે પેદા થતી પરિસ્થિતિની પર્યાવરણ અને આહારપ્રણાલિ પર થતી અસર બાબતે અનેક ટીકાઓ થતી આવી છે, પણ એ મહદંશે જમીનના ઘસારા, ભૂગર્ભજળના પ્રમાણમાં ઘટાડો, સપાટી જળના પ્રદૂષણ કે પાકમાં એકવિધતા જેવા મુદ્દાઓ પૂરતી મર્યાદિત રહી છે. ‘સાયન્‍ટિફિક રિપોર્ટ્સ’ અભ્યાસ થકી હરિત ક્રાંતિની ભારતની પોષણ સુરક્ષા પર થયેલી અસર અંગે પહેલવહેલી વાર પ્રકાશ ફેંકાયો છે.

    આ સમસ્યાની ઓળખ થઈ ગઈ છે, અને એ પણ વિજ્ઞાનીઓ દ્વારા, વૈજ્ઞાનિક ઢબે. આથી તેના ઉપાય પર કામ શરૂ થઈ ગયું છે. અનાજના પોષણમૂલ્યમાં વૃદ્ધિ કરવા માટેના પ્રયત્નો હાથ ધરાયેલા છે. આ વખતે વિજ્ઞાનીઓ ભૂપ્રજાતિઓ અને જંગલી પ્રજાતિઓ તરફ વળ્યા છે. એકાદ દાયકાથી આઈ.સી.એ.આર. તેમજ કૃષિ વિશ્વવિદ્યાલયોના વિજ્ઞાનીઓએ ઉચ્ચ પોષણમૂલ્ય ધરાવતી દાતા છોડની વિવિધતા માટે ‘જર્મપ્લાઝ્મ’ કાર્યક્રમ અમલી કર્યો છે. ઓછામાં ઓછું એક પોષક તત્ત્વ ભરપૂર માત્રામાં હોય એવા દાતા છોડની તલાશ ચાલુ છે. આવા છોડ મેળવવા સરળ નથી, એટલે ખેડૂતો પાસે સચવાયેલી ભૂપ્રજાતિઓ કે પ્રાકૃતિક રીતે ઊગી નીકળતી જંગલી પ્રજાતિઓનું પોષણમૂલ્ય તૈયાર કરાઈ રહ્યું છે.

    આમ, પડકાર અનેકગણો છે, તેને પહોંચી વળવાના પ્રયત્નો આરંભાઈ ગયા છે. છતાં તેને સફળતા મળતાં અને પરિણામ દેખાડતાં કેટલો સમય લાગશે એ કહેવું મુશ્કેલ છે. આ નવી જાતને બરાબર વિકસાવવી, તેને ઉગાડવા માટે ખેડૂતોને તૈયાર કરવા, તેનું બિયારણ સુલભ બનાવવું જેવા પ્રશ્નો વાસ્તવિક છે.

    પોષક દ્રવ્યોને સીધાં જ ખાતર તરીકે ઉમેરવાનો કે પાંદડા પર સીધો છંટકાવ કરવાનો પ્રયોગ પણ હાથ ધરાઈ રહ્યો છે. જો કે, આ પ્રક્રિયા ખર્ચાળ છે. છંટકાવ પછીના સમયગાળામાં થતો વરસાદ આ પ્રયોગને નિષ્ફળ બનાવી શકે.

    દેશમાં એક તરફ કુપોષણની સમસ્યા છે જ, પણ એના માટે મુખ્યત્વે અપૂરતો આહાર કારણભૂત છે. આ સમસ્યા પોષણક્ષમ ગણાતો આહાર લેવા છતાં કુપોષિત રહેવાની છે. કુપોષણ તેમજ તેને સંબંધિત અન્ય બિનચેપી રોગની સમસ્યાના ઊકેલ તરફ આગળ વધવું હોય તો ઉત્પાદનની સાથોસાથ પોષણને પણ પ્રાધ્યાન્ય આપવું જરૂરી છે. એવી પોષણક્ષમ પ્રજાતિઓને ખેડૂતો વધુ ને વધુ અપનાવે એવા ઉપાય આવશ્યક છે.

    એક સમયની જરૂરિયાત એક તબક્કે પૂર્ણ થઈ જાય પછી જે તે સમયે લીધેલાં પગલાંનું સિંહાવલોકન કરવું જરૂરી છે, એમ કહી શકાય. ભૂતકાળની સિદ્ધિનો નશો એવો હોય છે કે એ સીધો મોતને દરવાજે લાવી મૂકે અને છતાં ગૌરવગાન ચાલુ રહે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૭– ૦૩ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ઉત્તમ ખાતર વધારે સારો પાક આપે

    મંજૂષા

    વીનેશ અંતાણી

    આપણી આસપાસનું વાતાવરણ આપણને ઘડે છે. સફળતાને વરેલા લોકોએ એમની આજુબાજુ ઉત્તમ વાતાવરણ ઊભું કર્યું હોય છે, તેઓ સામાન્યપણાથી સંતોષ માનતા નથી

     

    તુર્કીની કહેવત છે: તમારો સંગાથ સારો હશે તો કોઈ પણ રસ્તો લાંબો લાગશે નહીં. આ કહેવત જીવનમાં ઉત્તમ વ્યક્તિઓને સાથે રાખવા પર ભાર મૂકે છે. ઘણા લોકોને સામાન્યતામાં જ રસ પડે છે, તેઓ ઉત્તમ તરફ ધ્યાન આપતા નથી, બલકે તેની અવગણના કરે છે. એમને ક્ષુદ્ર બાબતો, સામાન્ય મિત્રો, નીચું ધ્યેય ધરાવતા સાથીઓ, દૂષિત વાતાવરણ જેવી નકારાત્મક બાબતોમાં રસ પડે છે. એમનો જીવનપથ સરળતાથી કપાતો નથી કારણ કે એમણે સામાન્યતાને એમની અંદર વિકસવા દીધી હોય છે. એમણે સારાં કે ઉત્તમ પરિણામની આશા રાખી હોતી નથી, એમને એમની ક્ષુદ્રતા જ ઉત્તમ લાગે છે.

    જિંદગીનાં કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે વ્યક્તિએ એની આજુબાજુ ઉત્તમ વાતાવરણ ઊભું કરવું જોઈએ. શરીરની જેમ આપણા મન, આપણા વિચારો, આપણી સંવેદનાને પણ પૌષ્ટિક આહારની જરૂર પડે છે. માનસિક તંદુરસ્તી માટે ઉત્તમ વાતાવરણની આવશ્યકતા રહે છે. કહેવાયું છે કે દરેક વ્યક્તિમાં અનેક પ્રકારની ક્ષમતા રહેલી હોય છે, છતાં બધા એમની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી શકતા નથી, જ્યારે કેટલાક લોકો એમની ક્ષમતાનો વધારે કસ કાઢીને સફળતાનાં નવાં શિખર સર કરે છે. સફળતાને વરેલા લોકોના જીવનનો અભ્યાસ કરવાથી ખબર પડે છે કે એમણે એમની આજુબાજુ ઉત્તમ વાતાવરણ ઊભું કર્યું હોય છે, તેઓ સામાન્યપણાથી સંતોષ માનતા નથી.

    વ્યક્તિ સામાન્ય વિચારો ધરાવતા લોકોના સંપર્કમાં હશે તો એના વિચારો, અભિગમ, જીવન માટેની સમજ અને દૃષ્ટિ સામાન્ય જ રહેવાની છે. એમને ઉત્તમ શું છે તેની ખબર જ હોતી નથી. તુચ્છ લોકોનું સાન્નિધ્ય વ્યક્તિને તુચ્છ પ્રકારની વ્યક્તિ બનાવે છે. એની સામે ઊંચા વિચારો ધરાવતા લોકોનો સહવાસ આપણા વિચારોને, આપણા અભિગમને, આપણાં માપદંડોને, ધ્યેયોને ઊંચા બનાવે છે. સદા નિરાશામાં જ જીવતા લોકો એમની આજુબાજુ નિરાશાનું વાતાવરણ ઊભું કરે છે. મહત્ત્વાકાંક્ષી લોકો આપણી મહત્ત્વાકાંક્ષાને હવા દેતા રહે છે.

    એવા લોકો પણ જોવા મળે છે, જેમણે સરેરાશ સફળતાથી સંતોષ માની લીધો હોય છે. અહીં સફળતાનો અર્થ માત્ર ભૌતિક સફળતા જેવા સંકુચિત અર્થમાં લેવાનો નથી. માનવનું એકમાત્ર ધ્યેય ભૌતિક સફળતા કે ભૌતિક સુખ જ હોઈ શકે નહીં. સરેરાશ જીવનમાં સંતોષ માની લેનાર લોકોએ એક પ્રકારની શરણાગતિ સ્વીકારી હોય છે. તેઓ થોડો સમય ઉત્તમ અભિગમ સાથે કામ પાડવાના પ્રયત્ન કરે છે, પરંતુ આરંભિક નિષ્ફળતાની સામે ઘૂંટણ ટેકવી દે છે. એવા લોકોએ આ કથન પર ધ્યાનથી વિચારવાની જરૂર છે – ‘તમે જવા માગતા હોય તે અજાણી જગ્યાએ કોઈ તમારી સાથે આવવા તૈયાર ન હોય તો પણ તમે ઇચ્છેલા માર્ગે એકલા જજો. આગળ જતાં માર્ગમાં તમારા જેવું જ વિચારતા થોડા લોકોનો સથવારો તમને મળતો રહેશે.`

    આપણે વિરોધાભાસી સમયમાં જીવી રહ્યા છીએ. એક તરફ પ્રખર બુદ્ધિમત્તા છે, અસામાન્ય પ્રગતિ છે, ઉચ્ચ પ્રકારની સિદ્ધિઓ જોવા મળે છે. તેની સામે વ્યાપક સ્તરે ક્ષુદ્રતાનો અનુભવ થઈ રહ્યો છે. આ ક્ષુદ્રતાએ જીવનનાં ઘણાં પાસાંને આવરી લીધાં છે. રાજકારણમાં જોવા મળતી ક્ષુદ્રતા, ધાર્મિક પ્રવૃત્તિમાં નીચે ગયેલું ધોરણ, કળા-સાહિત્ય જેવાં ક્ષેત્રોમાં પ્રવર્તી રહેલી સામાન્યથી પોરસાઈ જવાની મનોવૃત્તિ. હવે બહુ ઓછા લોકોને સાધના કરવાની જરૂર લાગે છે. તદ્દન સામાન્ય કવિતા કે વિચારોને ફેસબુક જેવાં માધ્યમમાં મળતા ઢગલાબંધ લાઇક્સ વ્યાપક સ્વીકૃતિનો ભ્રામક સંતોષ જન્માવે છે અને ઉત્તમ પ્રકારનું કામ કરવા માટેની નિષ્ઠા અને પ્રયત્નો પર ચોકડી મારે છે. વ્હોટ્સએપ પર મૂકવામાં આવતી પોસ્ટ્સમાં સામાન્યતા વકરી ઊઠી છે. એક ગ્રુપમાંથી આવેલી ગમે તેવી સામાન્ય પોસ્ટ બીજાને ફોરવર્ડ  કરતાં પહેલાં આપણે આપણી પોતાની કક્ષાનો કે સામેની વ્યક્તિની કક્ષાનો વિચાર કરતા નથી. એ રીતે ક્ષુદ્રતાનાં ચેપી જંતુ ફેલાતાં રહે છે. કરુણતા એ છે કે આપણે તેનો આનંદ માણીએ છીએ.

    ઘણા લોકો બીજાની સફળતા કે સિદ્ધિનો ખુલ્લા મને સ્વીકાર કરતાં પણ ખચકાય છે. રાજકારણમાં આગળની સરકાર દ્વારા કરવામાં આવેલાં સારાં કામોનો અસ્વીકાર આનું એક દૃષ્ટાંત છે. આગળના સમયમાં થયેલાં કાર્યોમાં બધું જ ખરાબ હોય કે અયોગ્ય હોય તેવું માની લેવું કે પ્રજાસમૂહના મનમાં તે અસત્ય ઠોકી બેસાડવાની કળા આગળ જતાં વિનાશક સાબિત થઈ શકે. જૂઠ્ઠો અને ભ્રામક પ્રચાર પણ ક્ષુદ્રતાનું જ બીજું પાસું છે. એક સમયે કોન્ગ્રેસે પણ એવું જ કર્યું. એમાં વ્યક્તિપૂજાના વળગણે બહુ મોટો ભાગ ભજવ્યો. ઉત્તમનો આગ્રહ ભુલાયો. પરિણામ આપણી સામે સ્પષ્ટ છે.

    આપણી આસપાસનું વાતાવરણ આપણને ઘડે છે. ઉચ્ચ વિચારોની જાદુઈ શક્તિના હિમાયતી ડેવિડ જે. શ્ર્વાર્ટઝ ક્ષુદ્રતા અને ઉત્તમ વચ્ચેનો ફરક સમજાવવા સરળ ઉદાહરણ આપે છે. ‘દરેક ખેડૂતને ખબર હોય છે કે એ એના ખેતરમાં ઉત્તમ ખાતર નાખશે વધારે સારો પાક ઊગશે.’


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ધી ગ્રેટ રેલવે બાઝાર : ગાડી બુલા રહી હૈ, સીટી બજા રહી હૈ

    સંવાદિતા

    અલગારી રખડપટ્ટી કરનાર અને પછી એનો આનંદ રસજ્ઞોમાં વહેંચનાર પણ એક પ્રકારનો અનોખો કલાકાર જ છે.

    ભગવાન થાવરાણી

    કોઈકે કહ્યું છે કે કેટલાક પુસ્તકો એવા હોય છે જે વાંચી લીધા પછી પણ ઓશીકા પાસે રાખી મૂકવા ગમે. જન્મજાત યાત્રિક આત્માઓ અને વિશેષત: રેલ – યાત્રાના શોખીનો માટે બ્રીટીશ લેખક પોલ થેરૂ ( PAUL THEROUX ) નું ૧૯૭૫ માં પ્રકાશિત પુસ્તક ‘ ધી ગ્રેટ રેલવે બાઝાર ‘ અને એનો ઉત્તરાર્ધ કહેવાય એવું એમનું ૨૦૦૮ નું પુસ્તક ‘ ધી ઘોસ્ટ ટ્રેન ટૂ ઈસ્ટર્ન સ્ટાર ‘ આવા પુસ્તકની ગરજ સારે છે.
    બન્ને પુસ્તકોના શીર્ષક ઈંગિત કરે છે તેમ, બન્ને પ્રવાસગાથાઓ છે અને એ પણ રેલવેથી કરાયેલા પ્રવાસની, પરંતુ આવા પુસ્તકને એ ઓળખાણથી પિછાણવા એ તો મોટી નયૂનોક્તિ અને લેખક – પુસ્તકને થયેલો અન્યાય કહેવાય. કઈ રીતે, એ જોઈએ.
    પુસ્તકની પ્રસ્તાવનામાં જ લેખકના શબ્દો એમના ટ્રેન માટેના સંમોહનને પ્રતિબિંબિત કરે છે. એ લખે છે ‘ એવું ક્યારેય બન્યું નથી કે હું પસાર થતી ટ્રેનની સીટી સાંભળું અને મને એમાં સવાર થવાની ઝંખના ન જાગી હોય ! ‘ થેરૂને પ્રવાસનું ઘેલું તો છે જ પરંતુ રેલ પ્રવાસની તો પરમ ઘેલચ્છા ! ‘ ટ્રેનના અલાયદા કોચમાં મુસાફરીનો ખરો આનંદ એની આત્યંતિક અંગતતામાં છે. પ્રવાસીને એવું લાગે જાણે એ ગતિ કરતા કોઈક સુરક્ષિત કબાટમાં છે. એ ગતિના રોમાંચમાં ઉમેરો કરે બારીમાંથી પસાર થતી દ્રષ્યાવલિ, ટેકરીઓના ઢોળાવ, પહાડોનું વિસ્મય, ઓળંગાતા પૂલોનો ધડધડાટ અને પીળા પ્રકાશમાં ઝિલમિલ થતા અને જોતજોતાંમાં ઓઝલ થતા લોકોના ચહેરા. ‘ એ ઉમેરે છે કે રેલ-પ્રવાસમાં હવાઈ કે દરિયાઈ પ્રવાસનો ખાલીપો નથી, સભરતા છે. દરેક વળાંકે પસાર થતા દ્રષ્યોનું આગવું વૈવિધ્ય ટ્રેન – પ્રવાસમાં જ સંભવે. ટ્રેન પોતે એક રહેઠાણ છે, ભોજનકક્ષ સહિતનું . પ્રવાસોમાં એ શ્રેષ્ઠ છે.
    અને એમનો પ્રવાસ પણ કેવો ! પોતાના નિવાસ લંડનથી ઓરિએંટ એક્સપ્રેસમાં નીકળી તુર્કી, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, શ્રીલંકા ( ત્યારનું સિલોન ), બર્મા, વિયેટનામ, મલયેશિયા, સિંગાપોર અને જાપાનની વિવિધ અને કેટલીક તો ઐતિહાસિક મહત્વ ધરાવતી ટ્રેનોમાં મહિનાઓનો પ્રવાસ ખેડ્યા – વેઠ્યા પછી છેવટે લેખક પહોંચે છે રશિયા, જ્યાંની જગતની સૌથી લાંબી ટ્રેન ‘ ટ્રાંસ સાઈબીરીયન રેલવે ‘ દ્વારા પુન: લંડન વાપસી ! રસપ્રદ વાત એ છે કે આ લાંબા પ્રવાસે નીકળવાનો મૂળભૂત હેતુ તો હતો નવલકથા લેખનનો અનુભવ લેવાનો ( એમણે ૨૯ નવલકથા અને ૨૦ પ્રવાસ પુસ્તકો લખ્યા છે ! ) અને આ યાત્રા પોતે જાણે એક મહાનવલ બની ગઈ !
    ચાર મહિનાની આ દીર્ઘ યાત્રા કેવળ પ્રવાસ વર્ણન નથી, કે નથી એ દ્રષ્યો, સ્થળો, શહેરો, દેશો વિષેની માહિતી માત્ર. આ વિચક્ષણ પ્રવાસીની એક નજર ટ્રેનની બારીની બહાર છે, બીજી સહપ્રવાસીઓ તરફ અને વળી એક ત્રીજી નિરંતર પોતે જે જૂએ, અનૂભવે છે એને પોતે વાંચેલી અથવા પ્રવાસ દરમિયાન વંચાઈ રહેલી સાહિત્યિક કૃતિઓના પરિપ્રેક્ષ્યમાં મૂલવતી જાય છે. વચ્ચે આવતા નગરો અને દેશોમાં એમનો જે ટૂંકો વિરામ છે એના વિવરણમાં એ ઝાઝા પડતા નથી કારણ કે વાચકોને ‘ સાઈટ સીંગ ‘ કરાવવું એમનો ઉદ્દેશ્ય જ નથી. એમના મનોજગતમાં તો બિરાજે છે કેવળ ટ્રેન, ટ્રેન અને ટ્રેન જ. હા, એની સાથે જોડાયેલી આનુસંગિક વસ્તુઓ – સ્ટેશનો, રેલવેના માણસો, કંડક્ટર, સ્ટોલ અને ફેરિયાઓની વાતો પણ એ સહૃદયતાથી વિગતવાર કરતા જાય છે. થેરૂ પાસે જે દ્રષ્ટિ અને ભાષા છે એ સામાન્ય લેખકની નથી. એ પ્રવાસ દરમિયાન જે જૂએ અને અનુભવે છે એને પોતાના આગવા દ્રષ્ચિકોણથી મૂલવે છે અને મન – પાટીમાં દર્જ કરતા જાય છે. પુસ્તકના વાચન દરમિયાન એવું લાગ્યા કરે કે આપણે વાચક નહીં, સહપ્રવાસી છીએ અને આપણા જ મનમાં સુષુપ્ત પડેલી મુસાફરી એમણે ખેડી છે !
    દરેક સાચા પ્રવાસીની એક સમસ્યા એ હોય છે કે કોઈ પણ સ્થળની મુલાકાત લઈ પરત ફર્યા બાદ એને એવું લાગ્યા કરે છે કે એણે મુલાકાત લીધી એ જગ્યાએ કશુંક કરવાનું, જોવાનું કે અનુભવવાનું બાકી રહી ગયું ! એ ફરી એકવાર એ સ્થળે જઈ ‘ એ અધૂરું રહી ગયેલું કશુંક ‘ પૂરું કરી આવવા ઝંખતો હોય છે. પોલ થેરૂએ પણ મોડા મોડા આવું અનુભવ્યું. પ્રથમ યાત્રાના બરાબર તેત્રીસ વર્ષ બાદ વર્ષ ૨૦૦૬ માં એમણે નક્કી કર્યું કે ૧૯૭૩ માં એમણે જે મુસાફરી કરી એને એ જ સ્વરૂપમાં, એ જ રૂટ ઉપર, એ જ માધ્યમ – ટ્રેન દ્વારા ફરી કરવી. એ બીજી મુસાફરીનું એવું જ એક વિલક્ષણ પુસ્તક ‘ ધી ઘોસ્ટ ટ્રેન ટૂ ઈસ્ટર્ન સ્ટાર ‘ ૨૦૦૮ માં પ્રકાશિત થયું.
    આ નવા પુસ્તકમાં સવાયું ગદ્ય, અદ્ભૂત વર્ણનો અને સમાંતરે વંચાતા જતા પુસ્તકોની અણમોલ વિચાર – કણિકાઓ તો છે જ પણ સાથોસાથ એક નિખાલસ કબૂલાત પણ છે. લેખક કહે છે કે એમણે અગાઉ જોયેલાં એ સ્થળો, શહેરો, સ્ટેશનો અને લોકોમાં મોટો બદલાવ તો આવ્યો જ હતો પણ એ કરતાં પણ મોટું પરિવર્તન આવ્યું હતું એમની પોતાની દ્રષ્ટિમાં અને માટે હવે એમને લાગતું હતું કે અગાઉના પ્રવાસમાં બાંધેલી ઘણી બધી માન્યતાઓમાં એ ખોટા હતા ! કોઈક વિચારકે પણ આવું જ કહ્યું છે કે જો તમને સમયાંતરે એવું લાગ્યા કરે કે પહેલાં તમે ખોટા હતા તો તમે સાચા છો ! 
     
    પહેલા પુસ્તકના ત્રીસ અને બીજાના બત્રીસેય પ્રકરણના શીર્ષક, એમણે જે ટ્રેનોમાં મુસાફરી કરી એના નામ પરથી રાખ્યા છે. કુલ મુસાફરીમાં સૌથી વધુ સમય એમણે ભારત અને ભારતીય ટ્રેનોમાં વીતાવ્યો જે સ્વાભાવિક છે કારણકે સમગ્ર મુસાફરીમાં સૌથી વિશાળ મુલ્ક અને વિરાટ ભાતીગળ રેલ માળખું ભારતમાં જ હતું. એમને અફઘાનિસ્તાન માટે એટલે અણગમો ઉપજેલો કે ત્યાં ‘ એક ઈંચ જેટલી પણ જાહેર રેલવે નહોતી ! ‘
    થેરૂ કહે છે કે રેલ – પ્રવાસ એક સાહસ પણ છે અને એક રાહત પણ. એ એકાંત આપે છે અને દૈનંદિન એકધારાપણાથી મુક્તિ પણ. એ મુસાફરીમાં બારીમાંથી પસાર થતી જિંદગી એક પ્રેક્ષક તરીકે જોઈ શકાય છે. જો રેલ – પ્રવાસ કરતા હોઈએ તો એમની આ વાત સાથે ભાગ્યે જ અસંમત થઈ શકાય !
    બૃહદ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો છીએ તો આપણે સૌ છીએ આ પૃથ્વીના મુસાફર જ . કાશ આપણામાં પણ આવા ઉપ-પ્રવાસો ખેડવાની ધગશ, હિંમત અને એને અમલમાં મૂકવાની સાનુકુળતા હોત .

    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ‘દશ નારીચરિત’: સંક્રાંતિકાલીન નારીની વેદનકથા

    અમૃતાનુભવની ઉજાણી

    દર્શના ધોળકિયા

    શ્રી રઘુવીર ચૌધરીકૃત દસ નારીપાત્રોને લઈને રચાયેલી આ કૃતિમાં નારીજીવનના સાંપ્રત સમયસંદર્ભની તાસીર રજૂ કરવાનો લેખકનો પ્રયત્ન ભાવકને વિભિન્ન આયામોમાં સમાજાભિમુખ બનાવવામાં સફ્ળ નીવડે છે. લેખકે આ કૃતિઓ દીર્ઘ નવલિકા કે લઘુનવલ પ્રકારની લાગવાની શક્યતા દર્શાવી છે. પણ કૃતિમાંથી પસાર થતાં એ સત્યકથાની વધુ નિકટ જણાય છે.

    આ દસે નારીપાત્રો આધુનિક સમયસંદર્ભમાં જીવે છે એમ કહેવા કરતાં બદલાતા રહેતા સાંપ્રત સમયનાં, સમયની સાથે વહેવા મથતાં પાત્રો છે એમ કહેવું વધુ ઉપયુક્ત છે. આ નારીપાત્રો જે સમાજમાં જીવે છે એ સમાજે જીવનનાં અન્ય ક્ષેત્રોના પરિવર્તનો સહજ રીતે સ્વીકાર્યાં છે, પણ એ પરિવર્તનોના સંદર્ભે નારીમાં આવતા બદલાવને સ્વીકારતાં સમાજ અવઢવ અનુભવે છે એની વાત લેખકને અહીં કરવી છે. આથી અહીં જેટલી નારી કેંદ્રમાં છે તેટલો જ સમાજ પણ છે. કૃતિનો મુખ્ય વિચાર આ મુદ્દો રજૂ કરતો હોઈ, પ્રસ્તુત ચરિત્રોમાં નવલિકાની સર્જકતા કરતાં વર્તમાન સામાજિક સમસ્યા વ્યક્ત કરવાની મુખરતા વધુ ધ્યાન ખેંચે છે.

    કૃતિમાં આલેખાયેલાં દસે નારીપાત્રોમાં ઘણું વૈવિધ્ય છે. આ બધી જ સ્ત્રીઓ સમસ્યાઓનો ભોગ બની જ છે એવું નથી. કેટલીક સ્ત્રીઓએ જાતે સમસ્યા સરજી છે તો કેટલીકે સરજાયેલી સમસ્યાનો ઉકેલ પણ શોધ્યો છે. કોકિલા, કુંદન કે સુરેખા જેવી નારીઓ જીવનને સમજવા મથે છે, પોતાની સમસ્યાઓને બને ત્યાં સુધી જાતે ઉકેલે છે, એ અંગે તેમની કોઈ ફરિયાદ પણ નથી. છતાં આસપાસનાં વિઘ્નો તેમને છોડતાં નથી. પરીક્ષામાં પાસ થવા માટે બાધા રાખનાર અનિલ મૈત્રીદાવે કોકિલાને પણ બાધા રાખવા માટે દૂરના સ્થળે લઈ જાય છે ને સાધન ન મળતાં એ સ્થળે બંનેને રાત્રિરોકાણ કરવું પડે છે. આ ઘટનાને કારણે પછીથી અનિલને કૉલેજ છોડવી પડે છે, ઘર પણ છોડવું પડે છે ને કોકિલાનું બીજી જગ્યાએ લગ્ન થાય છે જે સુખદ બનતું નથી. બાળકને જન્મ આપ્યા પછી કોકિલાને પિયર પાછા આવવું પડે છે. પછીથી ફરી અનિલ કોકિલાના પ્રશ્નોમાં રસ લે છે ને એ જ કારણે લાંબે ગાળે કોકિલાને નોકરી છોડવાના સંયોગો ઊભા થાય છે. આ આખીય ઘટનામાં કોકિલા પોતાનો વાંક સમજાવવા પ્રભુને પ્રાર્થે છે !

     

    સુરેખા સંયુક્ત કુટુંબને ચાહતી સ્ત્રી છે. પતિ સાથેનું તેનું મધુર દાંપત્ય તેને પ્રસન્ન ગૃહિણી બનાવી શક્યું છે. પણ કુટુંબના વડીલો તેની સારપનો ગેરલાભ ઉઠાવીને તેનું જે રીતે શોષણ કરે છે એ રીતિઓ સુરેખાને અકળાવે છે. સેવા કરતાં પુત્ર-પુત્રવધૂના કપરા કાળમાં શાહમૃગી વલણ ધરાવતાં વડીલો સુરેખાના જીવનને હચમચાવી દે છે.

    આ નારીઓને કેવા કેવા પ્રશ્નો છે ! કુંદન દેસાઈ જેવી આધુનિક યુવતી, જેણે વડોદરામાં શિક્ષણ લીધું છે, બાળલગ્નને તોડી નાખ્યું છે, ડી.પી.એડ. કરીને નર્સિંગનો કોર્સ કર્યો છે ને ઍર હૉસ્ટેસ થવાની ઇચ્છા ધરાવે છે – તેના જીવનમાં મધુકર મહેતાનો પ્રવેશ થાય છે. કુંદનને તેમની ખૂબ મદદ મળે છે. ધીમે ધીમે બંને સહજ રીતે એકબીજાનાં સુખ દુઃખ વહેંચતાં થાય છે. મધુકરભાઈના દુઃખી દાંપત્ય પ્રત્યે કુંદનને હમદર્દી છે. કુંદન લગ્ન ઈચ્છે છે પણ મધુકરભાઈને તો માત્ર મિત્ર માનીને જ ચાલે છે. મધુકરભાઈના વર્તનમાં પણ કોઈ અસંગતિ, અતિશયોક્તિ કે શિષ્ટતાના અભાવની છાંટ સુધ્ધાં વરતાતી નથી. પછીથી મધુકરભાઈનાં પત્ની દ્વારા જ કુંદન પાસે કુંદનનું માગું નાંખતાં કુંદન અવાક્ બને છે, એનું એક કારણ સંતાનપ્રાપ્તિની ઇચ્છા પણ છે. મધુકરભાઈને આ અંગે પૂછતાં ભારે સ્વસ્થતાપૂર્વકની બેફિકરાઈ કેળવી શકતા કુંદન તેમને જુએ છે. મધુરભાઈનાં પત્નીએ તો જડબાંતોડ સ્પષ્ટતા કરી દીધી તેમ ‘તું આમને આમ વર્ષે ખેંચ્યા કરશે અને પુત્રને જન્મ આપવા યોગ્ય નહીં રહે પછી મારા પતિના પ્રેમમાં પડશે તો હું નહીં આવકારું. કાં તો અમારો સ્વીકાર કર, કાં તો મનમાંથી અમારા વિશેનો આદર ભૂંસી નાખ.’ પરિસ્થિતિને સમજી ચૂકેલી કુંદન વિચારે છે. ‘કદાચ હું એમને અપનાવી લેવા વિવશ થઈશ. સવાલ એટલો જ છે ના છૂટકે સ્વીકાર્યું કે સ્વેચ્છાએ.’ કોઈના લીધેલા ઉપકારની નારીએ ચૂકવવી પડતી આ કિંમત છે !

    કૃતિની વિશેષતા એ છે કે આ પ્રકારનાં નારીપાત્રોનાં આલેખનથી લેખક ‘નારીવાદ’નું સ્થાપન કરવા માગતા નથી. માનસી જેવું નારીપાત્ર પણ અહીં મળે છે જે એના સહાધ્યાયી ધ્રુવ ભટ્ટ સાથે મૈત્રી ધરાવે છે પણ એની સાથે લગ્ન કરવા અંગે નિશ્ચિત નથી. પછીથી એ મહેશ નામના યુવક સાથે લગ્નગ્રંથિથી જોડાય છે. મહેશનો મિત્ર શાસ્ત્રી વિદુલા નામક યુવતીને ચાહે છે ને પોતે પરિણિત હોઈ, વિદુલાનાં લગ્ન મહેશ સાથે કરવા ઇચ્છે છે. જેનો સ્વીકાર મહેશ કરી શકતો નથી ને માનસી સાથે જોડાય છે. નોકરી પહેલાં લગ્ન કરવાનો ઈન્કાર કરતા ધ્રુવને છોડીને માનસી પણ મહેશ પર પસંદગી ઉતારે છે. પછીથી માનસી-મહેશના પ્રસન્ન દામ્પત્યને છેડતા નનામા ફોન ચાલુ થતાં ધ્રુવ જ એનાં મૂળને પકડે છે. શાસ્ત્રી ને વિદુલા મહેશની આપવડાઈની સજા કરવા એમાં ભાગીદાર બને છે. નારીનું આ બીજા પ્રકારનું ‘ચરિત’ પણ લેખકે પૂરા તાટસ્થ્યથી વ્યક્ત કર્યું છે. નારીનું આ પ્રકારનું પરિવર્તન પણ, લેખકને મતે કદાચ સમયની જ દેણ હોઈ શકે.

    અહીં દીના જેવાં ગૌરવશીલ નારી પાત્રો પણ છે, જેઓ પતિને ખૂબ ચાહતાં હોવા છતાં પતિ કમાતો ન થાય ત્યાં સુધી સાસરે જવા ઇચ્છતાં નથી. હૃદયની બીમારી ધરાવતી નીલમ માતા-પિતાની ચિંતા દૂર કરવા સુકેતુ નામક યુવક સાથે પરણવાની ઇચ્છા વ્યક્ત કરે છે. સુકેતુ કૃપાને ચાહે છે ને કૃપા અમેરિકા છે. સુકેતુ પોતાને પરણીને અમેરિકા આવે ને પછીથી એને કૃપાને સોંપીને પોતે મુક્ત થાય એવા ઉદાર ખ્યાલથી પ્રેરાઈને નીલમ સુકેતુ સાથે જોડાય છે. કૃપાને સમજાવતી નીલમ કહે છે, ‘પારકી વસ્તુ પર હું દાનત નહીં બગાડું. મારે એટલું જ કહેવાનું છે કે સુકેતુનું ગૌરવ હણાય એવું પગલું તું ન ભરતી… એ કંઈ અમેરિકા માટે આવ્યો નથી. તારે માટે આવ્યો છે.’ પણ કૃપા માટે સુકેતુ હવે મહત્ત્વની વ્યક્તિ ન રહેતાં નીલમ-સુકેતુ બંને સાચા અર્થમાં પ્રસન્નતાપૂર્વક જોડાય છે. નીલમની સાથોસાથ સુકેતુની સમજની સહોપસ્થિતિ પણ પરિસ્થિતિને સ્વસ્થ વળાંક આપવામાં મદદરૂપ બને છે.

    સુચેતા, ઇલા જેવાં નારીપાત્રોને પણ પોતપોતાની સમસ્યાઓ છે જ. આ નારીપાત્રો એમની વ્યથા-કથા કે એમની સમજને લઈને ભાવકને જુદી રીતે વિચારતો કરી મૂકવા માટે સક્ષમ બન્યાં છે સાથોસાથ આ પાત્રોમાં આલેખાયેલી નારીગત વિલક્ષણતાઓ, આવેશ, ઊર્મિમાંદ્ય, સ્વસ્થ દૃષ્ટિબિંદુનો અભાવ તેમને પાત્ર તરીકે જ સ્થગિત કરી દે છે, ‘ચરિત્ર’ થવા સુધી તેમને પહોંચવા દેતાં નથી. આ નારીઓમાં રહેલી સમજ તેમને બુદ્ધિશાળી ઠેરવે છે. તેઓ લગ્ન, દાંપત્ય, કુટુંબજીવનના પ્રશ્નોની લક્ષ્મણરેખાને ઓળંગી શકતાં નથી. એ માટે જોઈતી આત્મપ્રીતિ, આત્મસન્માનનો જાણે તેમનામાં અભાવ વરતાય છે. હજુ પણ એ પુરુષને ‘ચાહવા જેવો બનાવવા’ મથે છે. કુટુંબજીવનના આનંદમાં જીવનનો સંતોષ શોધે છે. આમાંનું એકાદું નારીપાત્ર જીવનના કલા જેવાં રુચિકર પાસાં પ્રત્યે પ્રીતિ રાખતું, એમાંથી જીવનને પામવા, નારીત્વની સભાનતાથી ઉપર ઊઠીને કશુંક જુદું સિદ્ધ કરવા પ્રયત્ન કરતું બન્યું હોત તો ‘ચરિત’ શબ્દ સાર્થક લાગ્યો હોત. વળી, અહીં આલેખાયેલી પરિસ્થિતિમાં તેનાથી એક નવો આયામ ઉમેરી શકાયો હોત. આવી અપેક્ષા સર્જકત્વસભર વ્યક્તિત્વ ધરાવતા રઘુવીરભાઈ પાસે ભાવક સહેજે, સાધિકાર રાખી શકે.

    કૃતિનાં પાત્રોને આલેખતા, તેમની સમસ્યાઓ સાથે તાદાત્મ્ય સાધતા લેખકની મુખરતા ક્યાંક તરત વરતાય છે : “હા, જો બધા ડૉક્ટરો પરણેલા હોય અને સ્ત્રીદાક્ષિણ્યમાં માનતા હોય તો. બાકી નર્સ પાસે અંગત વફાદારીની અપેક્ષા રાખનાર પણ મળી આવતા હોય છે. ક્યારેક દર્દીઓ પણ સાજા થયા પછી પરિચિત નર્સના સાહચર્યની ઇચ્છાથી ફરી બિમાર પડવા ધારતા હોય છે.’ અલબત્ત, આ પ્રકારની મુખરતા લેખકને જે સ્થાપવું છે એના માટે ક્યાંક અનિવાર્ય પણ બની છે. સંવાદોનું ચાતુર્ય પણ આ જ રીતે સકારણ વ્યક્ત થયાનું જણાય છે.

    નારીજીવનની વેદનાને સંવેદતા વાસ્તવલક્ષી અભિગમ લઈને ચાલતા સર્જક રઘુવીરભાઈનો સ્પર્શ એકાદ નાના વર્ણન કે શબ્દચિત્રના લસરકાથી પાત્ર કે પ્રસંગને પણ અજવાળી દે છે : ‘એટલી વારમાં આખું આકાશ ઝગમગી ઊઠયું હતું. પણ તેજના તાણાવાણા ગૂંથવામાં જ એ રોકાયેલું હતું…’ દીનાને ઊંચકી લેતા ગોવર્ધનને વર્ણવતાં લેખક નોંધે છે: “શિશિર ઋતુ પળવારમાં વસંતમાં પલટાઈ ગઈ.’

    દસ નારીપાત્રોની સાથોસાથ એની સાથે સંકળાયેલાં અન્ય નારીપાત્રો, પુરુષપાત્રો ને સમાજનુંય આલેખન કરીને લેખકે નારી પ્રત્યેની પોતાની નિસબત વાદ-વિવાદથી ઉપર ઊઠીને વાસ્તવની ધરા પર રહીને વ્યક્ત કરી છે. લેખકે ઈચ્છેલો સમજણનો પાયો આ રીતે અહીં રચાયો છે.


    સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.