-
Should’ve Been Dead – એક ચસકેલ વ્યસનીની વ્યસન – મુક્તિની સાથે વણાયેલ શરમ અને ગુન્હાહિત માનસમાંથી છુટકારાની પ્રેરક ગાથા
પુસ્તક પરિચય

Should’ve Been Dead – Lessons From A Crack Pot Addict Who Broke Free – Sweta Patel with Rory Londer અશોક વૈષ્ણવ
એકાદ દાયકા સુધીનાં કોકેનના ઉન્માદી વ્યસનમાંથી મુક્ત થઈને આજે હવે ગૃહ – સુધારણાના લાખો ડોલરના વ્યાવસયિક અમેરિકનના જીવનના અનુભવોને બે વર્ષ સુધી ચાલેલા સંવાદો દ્વારા ત્યાંની શાળાની એક શિક્ષિકા દ્વારા આ પુસ્તકમાં ઝીલાયા છે. એ શિક્ષિકા પચાસેક વર્ષ પહેલાં અમેરિકા સ્થળાંતર થયેલાં ગુજરાતી માબાપની અમેરિકામાં જન્મેલી, ઉછરેલી અને શિક્ષિત થયેલ દીકરી છે એ બાબતનું મહત્ત્વ પણ આપણા, અહીના તેમ જ વિદેશોમાં વસેલા, સમુદાયને અમુક હદથી વધારે ન હોય તે પણ સ્વાભાવિક છે. કોકેઈન જેવા નશાના બંધાણીની વ્યસન મુક્તિ સાથે, તમાકુ જેવાં આપણા સમાજનાં બહુવ્યાપક થયેલાં વ્યસનો પણ દેખીતી રીતે આપણી શાળાઓમાં બહુ વ્યાપક ન થયેલાં જણાતાં હોવાને કારણે આજનાં ગુજરાતી સમાજનાં માબાપોને આ પુસ્તકનું અગત્ય ન જણાય એ પણ સમજી શકાય. જે કપડાં ધોવાનાં મશીનોની આડશમાં હાડકાં થીજાવતી ઠંડી સામે રક્ષણ મેળવ્યું તેને જ ખરીદીને તેમાંથી ગૃહ – સુધારણાનો વ્યવસાય ઊભો કર્યો એ વાત પણ અમેરિકન સમાજ જેવા સમાજના, ચીંથરેહાલ સ્થિતિમાંથી લાખોની દોલતના માલિક બનનારા, અનેક લોકોને વાસ્તવિક જીવનમાં સિદ્ધ કરવી એ દિવાસ્વપ્ન જેવી વધારે લાગે એમાં પણ કોઈ નવાઈ નથી. એ શિક્ષિકા જ્યારે આ અનુભવો એ વ્યક્તિના મોઢે જ પોતાની શાળાઓનાં વિદ્યાર્થીઓ સાથે વહેચતાં ત્યારે આવા કલ્પનાતીત જીવનપલટાની વાત રૂબરૂમાં સાભળવા મળે છે એ બાબત વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ નીવડતી હતી એ પણ અમેરિકાનાં વાતાવરણ માટે કદાચ નવી પણ કહેવાય.
આ પુસ્તકની કથાના નાયક, રોરી લૉન્ડરના જીવનના એ વર્ષોના અનુભવોને ૧૨ પદાર્થપાઠમાં વહેંચાયેલાં પ્રકરણોના આ પુસ્તકનું મહત્વ, શિક્ષિકા-લેખિકા, શ્વેતા પટેલ આ રીતે રજુ કરે છે –
“મેં શાળામાં મારાં શૈક્ષણિક કામ દરમ્યાન ડ્રગ વ્યસનીઓ, કડવા સંબંધોવાળાં કુટુંબો, સુધારણા ગૃહો, માથાભારે વિદ્યાર્થૉઓ, હતાશાઓ, આપધાતના પ્રયાસો જેવી ખુંચે એવી બધી વાસ્તવિકતાઓની કેટલીય વાતો સાંભળી છે. કેટલીક ઘટનાઓના તો સ્વાનુભવો પણ થયા હતા. આ બધી ઘટનાઓમાં જે એક સુર કાયમ જોવા મળતો તે ઊંડી પીડાની વેદનાનો હતો. આ વિદ્યાર્થીઓ માટે શાળા પછીની કારકિર્દીનો વિચાર તો ભૂલેચુકે જ ક્યાંય જોવા નહોતો મળતો.
“પણ, રોરી લૉડર આ બધાંથી સાવ જ નોખો હતો, આજે તે પચાસ વર્ષનો છે, અને તેની પાસે પોતાનું એક વર્તમાન છે. તે હવે કાયમ Rory’s Home Improvement ભરત કામ કરેલાં હુડી અને સફેદ પેન્ટમાં જ જોવા મળે છે. વિદ્યાર્થી સામે પોતાની વાત ચાલુ કરતાં પહેલાં તે પોતાના માથાં પર એક બે વાર ટપલી મારે, તેના માટે મુકાયેલી ખુર્શીમાં થોડીક ઢળતી બેઠક જમાવે, વિદ્યાર્થીઓની આંખોમાં આંખો પરોવે અને પછી તેમની કક્ષાએ જ આવીને પોતાની વાતને વહેવા દે.
કોવીડ પછી જ્યારે મેં તેમને ઓનલાઈન વ્યકત્વો આપવા વિશે પુછાવ્યૂં ત્યારે તેમને બદલે તેમના સહાયક તરફથી જે જવાબ આવ્યો તે દિલ વલોવી નાખે તેવો હતો. રૉરીને ચોથા સ્ટેજનું ફેફસાંનું કેન્સર હતું. થોડો સમય વીત્યા પછી તેમના ધીમા સુધારાના સમાચાર આવતા થયા ત્યારે મારા જીવમાં જીવ આવ્યો. આવા બધા વિવારોનાં વલોણામાંથી રૉરીની જીવનગાથાને પુસ્તકરૂપે ઉતારવાનો વિચાર જન્મ્યો.
“રોરી અને તેમનાં કુટુંબના સભ્યો સાથે મારી જે લાંબી વાતો થઈ તેને પુસ્તક સ્વરૂપે ઉતારવામાં મારાં સંતાનોના ઉછેર અને શાળાની જવાબદારીઓ સાથે સમય કાઢવો બહુ મુશ્કેલ હતો. એટલે ૨૦૨૨ – ૨૦૨૩નનાં શૈક્ષણિક વર્ષ માટે મેં ચાલુ નોકરીએ રજા લીધી. રૉરીની જીવનગાથા માત્ર અસ્તિત્વ ટકાવી રાખવાની વાત નથી,પણ જીવનને માણતાં માણતાં જીવી જવાની વાત છે.
“રોરી ડ્રગના એક અઠંગ વ્યસનીમાંથી એક સફળ ઉદ્યોગપતિ કેમ બની શક્યા એ અનુભવો અમારી શાળાના વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડતા રહે એ માટે અમારી શાળામાં પાંચ વર્ષ સુધી વ્યકત્વ્યો આપવા આવતા રહ્યા. તેમના અનુભવોની વાતો તેઓ એક વ્યસનીની જ ભાષામાં કહેતા, જેમાં વર્ગના અમેરિકન તરૂણો વાપરે તેવા અપશબ્દો પણ છૂટથી વપરાતા હતા.
“રોરી કહેતા કે એક દિવસ નશામાં ધુત થઈને મોટેલની એક રૂમમાં પડ્યા હતા ત્યારે ટીવીના પડદા પર તેમનાં કારનામાંની કથા કહેવાઈ રહી હતી. રોરી હવે ‘મોસ્ટ વોન્ટેડ’ ગુનેગાર બની ગયા હતા. “રોરી કહે છે કે તે રાત્રે તેમને ભાન થયું કે ‘મને શું જોઈએ છે તે તો ખબર નથી, પણ આ તો નથી જ જોઈતું.’ તેમણે વ્યસન મુક્તિધામોની સારવાર હેઠળ વ્યસન સામે યુદ્ધ આદર્યું.
“તેઓ આગળ વધતાં કહે છે કે આજે હવે જ્યારે લોકો તેમનાં વ્યસનની જૂની વાત સાંભળે છે ત્યારે તેમને મારા નામ સાથે મારા ગૃહ સુધારણા વ્યવસાયની, મેં મારા સમુદાયમાં કરેલા સ્વયંસેવાના કામોની, મારી પત્ની સાથેના સુખી ઘરસંસારનીની જ યાદો આવે છે. આ માણસ કેમ સુધર્યો તેનો કોયડો ઉકેલવાના તેમના આ પ્રયત્નોમાં મારા આવા જવાબો તેમને વધુ ગુંચવે છે –
- મારો ઉછેર ખુબ પ્રેમાળ માતાપિતા પાસે થયો હતો.
- યહુદી શાળામાં હું ભણ્યો છું. મારી ચાલચલગત બહુ જ સારી હતી. હું હંમેશાં ઑનર્સ કક્ષાનો વિદ્યાથી રહ્યો હતો.
- મારે પણ મારાં સપનાં હતાં. ત્યાંના એક રેસ્તરાંનો હું આશાસ્પદ શેફ હતો.
“એટલે, તે પછીનો સ્વાભાવિક સવાલ પુછતાં પહેલાં એ લોકો અચુક થોડી વાર થોભી જતાં. અને પછી એક જ સવાલ આવતો : તો પછી આવું બધું કેમ થાય? કેમ શક્ય બને?
“અને મારી કથનીનાં પડ ઉખળવા લાગતાં…….”
એ પછી શ્વેતા પટેલ અને રોરી લૉન્ડર વચે જે મુલાકાતોનો દૌર ચાલ્યો તે આ પુસ્તકના ૧૨ પ્રકરણોમાં બહુ મુલ્ય અનુભવોના સ્વરૂપે પ્રતિબિંબિત થયો છે. એ દરેક પ્રકરણો રોરીનો, આપણા સૌ માટેનો, પ્રેરણા આપતો, નિરાશાઓમાંથી બહાર કાઢી આપતો, આપણી જીવનદૃષ્ટિને બદલી નાખતો અને જીવનને આગળ ધપાવાવાનો જુસ્સો પુરો પાડતો, વારસો છે.
રોરીની જીવન કથની પુસ્તક પુરું થતાંની સાથે પુરી નથી થતી. તે તો તે પછી, વણબોલ્યે પણ, આપણા મનમાં પડઘાય છે. શ્વેતા પટેલ તો કહે જ છે કે રોરીના સંદેશાઓએ તેમનામાં જે જાદુઈ ફેરફાર કર્યો તેને લીધે તેમનો આત્મવિશ્વાસ તો વધ્યો જ, પણ તે સાથે તેમના વિદ્યાર્થીઓ સાથેના, અને પોતાની જાત સાથેના, સંબંધો વધારે ગહન, વધારે સહજ અને વધારે આપસી સમજવાળા બન્યા.
આમ, રોરી લૉન્ડરના જીવનના પદાર્થપાઠો માત્ર કોઈ વ્યસની પુરતા જ મર્યાદિત નથી બની રહેતા.
દરેક વ્યક્તિની જીવનશૈલી બીજાને માટે દીવાદાંડી બની રહે તો એનાથી વધારે સારી જીવનસ્વપ્નની સિદ્ધિ બીજી કોઈ ન હોઈ શકે!
પુસ્તક વિશેઃ
Should’ve Been Dead – Lessons From A Crack Pot Addict Who Broke Free
લેખકોઃ શ્વેતા પટેલ, રોરી લૉન્ડર સાથે (https://www.shouldvebeendead.com/ )
પૃષ્ઠ સંખ્યાઃ ૨૯૨ । © 2023 by BookSplash Publishing
કિંમત – પેપરબેક – રૂ. ૬૪૦ । કિંડલઃ રૂ. ૪૪૯
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
-
પોતાના સમય કરતાં વહેલા જન્મી ગયેલા કલાકારોનું જીવન કેવું નર્કાગાર સમું હોય છે એનું પ્રતિબિંબ છે આ નવલકથા
સંવાદિતા
બે મહાન અને વિચક્ષણ લેખકો વચ્ચેનો એકાલાપ સમો આ કાલ્પનિક સંવાદ એમના સમય અને જીવનની હકીકતો ખોલે છે
ભગવાન થાવરાણી
ઉર્દૂ – ફારસીના મહાન શાયર મિર્ઝા અસદુલ્લાહ ખાં ‘ ગાલિબ ‘ સન ૧૭૯૭ માં જનમ્યા અને ૧૮૬૯ માં ઝન્નતનશીન થયા તો ઉર્દૂના એવા જ વિદ્રોહી અને ક્રાંતિકારી કલમકાર સઆદત હસન મંટો ગાલિબના ઈંતેકાલ પછી આશરે પચાસ વર્ષે જન્મી ૪૩ વર્ષની યુવાન વયે ૧૯૫૫ માં પાકિસ્તાનના લાહૌરમાં અવસાન પામ્યા.અલગ અલગ સમયગાળામાં જન્મેલા આ બન્ને કલાકારોની ફિતરતમાં કેટલીક આશ્ચર્યકારક સમાનતાઓ હતી. બન્ને વિલક્ષણ અને નખશીખ બળવાખોર આત્માઓ તો ખરા જ, પણ બન્નેની કલમ જાણે તેજાબમાં ઝબોળાઈને જિગરના લોહીથી લખતી. બન્નેની કદર એમની જીવનકાળમાં બિલકુલ ન થઈ, બન્ને સમાજ દ્વારા લગભગ હડધૂત થયા, બન્ને આજીવન નાસ્તિક અને શરાબી, બન્નેએ રોજીરોટી માટે નિરંતર સંઘર્ષ કર્યો, બન્નેએ પાછલી જિંદગીએ માણસની માણસ પ્રત્યે અમાનુષી ક્રૂરતા જોઈ, બન્ને સંજોગોની અગ્નિપરીક્ષામાંથી પસાર થયા પણ પોતાના વિચારોને મક્કમતાથી વળગી રહ્યા અને બન્નેના સ્વપ્નોના કાટમાળ અને સમયના હાથે મળેલી શિકસ્તનો રંગ એક જ હતો !
બંગાળી લેખક રવિશંકર બલની ૨૦૧૨ માં પ્રકાશિત નવલકથા ‘ દોઝખનામા ‘ એક અનોખી કૃતિ છે. એ ગાથા છે ગાલિબ અને મંટો વચ્ચે પોતપોતાની કબરોમાંથી થયેલા કાલ્પનિક સંવાદની. એ નવલકથામાં સમાયેલી અન્ય એક નવલકથાની વાત છે. પુસ્તકનો અનુવાદ હિંદી અને અંગ્રેજીમાં થયો છે. હિંદી અનુવાદ અમૃતા બેરાએ કર્યો છે તો અંગ્રેજી અરુણવ સિંહાએ.હિંદી અનુવાદના કુલ ૪૫ પ્રકરણમાંના પ્રત્યેકનો આગાઝ મિર્ઝા ગાલિબ અથવા મીર તકી મીરના કોઈક સાંદર્ભિક શેરથી થાય છે. કથાની શરુઆત થાય છે કલકત્તામાં વસતા એક પત્રકારની લખનૌ શહેરની મુલાકાતથી, જ્યાં એ ત્યાંની તવાયફોના જીવનનો અભ્યાસ કરવા આવ્યો છે. એને અકસ્માતે ભેટે છે મરણના કિનારે ઊભેલો એક જૈફ શખ્સ જેણે એક અમૂલ્ય પુસ્તકની જીર્ણશીર્ણ હસ્તપ્રત સાચવી રાખી છે. એ હસ્તપ્રત છે સઆદત હસન મંટોએ પોતાના જીવનમાં લખેલી એકમાત્ર નવલકથાની. પત્રકાર એ હસ્તપ્રત લઈ કલકત્તા પાછો ફરે છે અને પોતે ઉર્દૂ ભાષા ન જાણતો હોઈ એ ભાષાની એક યુવાન પંડિતા તબસ્સુમ મિર્ઝાની મદદથી એ પુસ્તકનો બંગાળી તરજુમો કરવાની તજવીજ આરંભે છે. એ પુસ્તકમાં સમાવિષ્ટ છે ભારત – પાકિસ્તાનની કાંટાળી વાડના સામસામા કાંઠે દિલ્હી અને લાહૌરમાં પોતપોતાની કબરોમાં સૂતેલા બે મહાન સર્જકો ગાલિબ અને મંટો વચ્ચેનો સંવાદ !મંટો લિખિત આ નવલના પહેલા પ્રકરણની તારીખ છે ૧૮ જાન્યુઆરી ૧૯૫૫ અર્થાત મંટોની મૃત્યુ તિથિ ! શરુઆતમાં જ મંટો ગાલિબને ઉદ્દેશીને કહે છે કે તમે એ રીતે નસીબદાર કે તમે ૧૯૪૭ ના ભાગલા અને એ અન્વયે થયેલો અમાનુષી રક્તપાત અને રાક્ષસી હરકતો ન જોઈ ! દરેક પ્રકરણમાં વારાફરતી બન્ને એકમેકને ( અને આજુબાજુની કબરોમાં સૂતેલા અન્ય સૌને ! ) સંબોધીને પોતપોતાની કેફિયત સંભળાવે છે. એ સંવાદના બહાને બન્ને વાત તો કરે છે પોતાના જમાના, સમાજ, મિત્રો – દુશ્મનો, સંબંધીઓ, કુટુંબીઓ, લગ્નજીવન, પ્રેમ અને પ્રેમિકાઓ અને ત્યારના સમગ્ર માહૌલની.મંટો ગાલિબને કહે છે ‘ મારી વાર્તાઓમાં એ જ પાત્રો છે જે તમારા શેરોમાં હતા. ‘ નવલકથામાં ડગલે ને પગલે બન્નેએ સાંભળેલી દાસ્તાનો અને કિસ્સા આવતા રહે છે. ગાલિબ કહે છે ‘ મારી બધી કલમો મેં મારા પૂર્વજોના તૂટેલા તીરોમાંથી બનાવી છે ‘ ( એમના પૂર્વજો સૈન્યના સરદારો હતા ) અને ઉમેરે છે ‘ હજારો ગઝલો લખ્યા છતાં કોઈને કવિ ન કહી શકાય, જો એણે એકાદ શેર પણ એવો લખ્યો ન હોય જેમાં હૃદયના ઝબોળાયેલો કણસાટ હોય. મેં હમેશાં મારા ઝખ્મો વિષે જ લખ્યું છે.’પુસ્તકમાં જેટલા ગાલિબના શેર ઉદ્ધૃત કરાયા છે એટલા જ મીર તકી ‘ મીર ‘ ના પણ. લેખક કહે છે ‘ વાતને પરદામાં રાખવાનો હુન્નર ગાલિબ પાસે હતો. ‘ મીર ‘ તો લોહીથી લથબથ પોતાનું હૃદય લાગલા જ ભાવકના હાથમાં પકડાવી દેતા ! ગાલિબ એ પડછાયા સાચવી દૂર સ્થિર ઊભેલા આયના જેવા હતા !બન્ને દિલ્હી અને લાહૌરની તવાયફો સાથેના પોતાના વ્યક્તિગત સંબંધોનો ઉલ્લેખ પણ સંપૂર્ણ બેબાકીથી કરે છે. મંટોના મુખે લાહૌરની હીરામંડીના કોઠાઓની દાસ્તાનો અવાક્ કરી દે છે. એ કહે છે ‘ હીરામંડીના રંગીન દુનિયામાં અનેક સુરીલા દિલ ધબકતા હતા. કોઈ સાક્ષાત માલકૌંસ, કોઈ બિહાગ, કોઈ ભૈરવી તો કોઈ પૂરવી. એ રાગોમાં જ સમાયેલા હતા અશ્રુ, લોહી અને ચીસો. ‘ તો ગાલિબ પોતાના પુરોગામી શાયર મીર તકી મીરની પ્રેમકથા અને એ કારણે એ પાગલ થઈ ગયા એ કિસ્સો કહી આપણને સ્તબ્ધ કરી મૂકે છે. ગાલિબ પોતાની પ્રેમિકાઓ મુનીરાબાઈ અને બેગમ ફલક આરાની વાત વિગતે કરે છે તો મંટો પણ લેખિકા ઈસ્મત ચુગતાઈ અને બેગૂ નામની સ્ત્રી સાથેના પોતાના સંબંધોની કથની કહે છે. મંટો કહે છે ‘ જિંદગીની કિંમત વ્યાજ અને મુદ્દલ સાથે અહીં જ ચૂકવી જવાની હોય છે.’ પોતે કવિ ન હોવા છતાં કવિતા વિષે એ કહે છે ‘ અલંકારોથી લદાયેલી સ્ત્રીનું સૌંદર્ય એની હેઠળ દબાઈ જાય છે. એવું જ કવિતાનું છે. ‘પોતાના પેન્શન માટે કલકત્તા અંગ્રેજ દરબાર આગળ રજુઆત કરવા ગાલિબ દિલ્હીથી મહિનાઓનો પ્રવાસ ખેડીને ગયેલા. રસ્તામાં આવતા કાશીમાં એ ખાસ્સા દિવસો રોકાયેલા. એ નગરી, ત્યાંના લોકો અને ત્યાંના મણિકર્ણિકા ઘાટની એ ભૂરિ – ભૂરિ પ્રશંસા કરે છે. ત્યાંના આધ્યાત્મિક અનુભવ વિષે એ વાત કરતાં થાકતા નથી. ગંગા ઘાટે કબીર સાહેબને મળ્યાનો એમનો કાલ્પનિક અનુભવ પણ રસપ્રદ છે.મંટોએ મુંબઈની ફિલ્મી દુનિયાની હસ્તીઓ સિતારા, કે આસિફ, નસીમ બાનો અને શ્યામના જીવન અને એમના દિલફરેબ વ્યક્તિત્વ વિષે એવી વાતો કરી છે કે બરબસ એ બધા પ્રત્યે ભાવ ઉપજી આવે. ગાલિબ દિલ્હી ( ત્યારે એ શાહજહાનાબાદ કહેવાતું ) ના આખરી મુગલ બાદશાહ બહાદુરશાહ ‘ ઝફર ‘ વિષે કહે છે કે એ કવિ હતા જ નહીં ! એમની ઐયાશી વિષે પણ ઉલ્લેખ છે. ૧૮૫૭ ના નિષ્ફળ બળવા વિષે એ કહે છે ‘ સૈનિકો માત્ર લડી શકે, શહેરો ઉજાડી શકે, એ લોકો ક્યારેય આઝાદી ન અપાવી શકે. એ કામ પ્રજાનું છે. ‘ખરેખર તો આ સંવાદ નહીં, આપવીતી છે પણ બન્ને દ્વારા એ નિમિત્તે જે કઈ કહેવાયું છે એ વિચલિત કરી મૂકે છે અને ‘ દોઝખનામા ‘ ને એક વિશિષ્ટ નવલકથા તરીકે પ્રસ્થાપિત કરે છે.ગાલિબ ૧૮૫૭ ની હિંસા જોયા બાદ મૃત્યુ પર્યંત લગભગ મૌન જ રહ્યા. એમના સમગ્ર કાવ્યોના દીવાન અને એમણે મિત્રો ઈત્યાદિને લખેલા પત્રોના સંગ્રહની વિવિધ આવૃત્તિઓ થઈ છે. મંટોએ મુખ્યત્વે વાર્તાઓ, રેડિયો નાટકો અને ફિલ્મોની કહાણીઓ લખી. ૧૯૫૪ ની સોહરાબ મોદીની ફિલ્મ ‘ મિર્ઝા ગાલિબ ‘ ની વાર્તા એમણે લખેલી. પોતાની કબર ઉપર મૂકવા એમણે પોતે જ જે મૃત્યુ લેખ લખી રાખેલો ( જે એમની કબર પર ક્યારેય મુકાયો નહીં ) એના શબ્દો છે ‘ અહીં ટનબંધ માટી નીચે સૂતો છે મંટો અને એની સાથે વાર્તા લેખનના બધા રહસ્યો પણ. એ હમેશાં એવું વિચારતો કે કોણ વાર્તા લેખક મોટો ? ખુદા કે મંટો ? ‘
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
સુંદરતાઘેલા સમાજમાં પ્રાચી નિગમનું દસમી ટોપર થવું …
નિસબત
ચંદુ મહેરિયા
ઉત્તરપ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડની ૨૦૨૪ની દસમા ધોરણની પરીક્ષામાં ૯૮.૫૦ ટકા માર્ક્સ મેળવી પ્રથમ આવેલી પ્રાચી નિગમે બે ચાર દિવસ પછી જ પત્રકારોને અફસોસ સાથે કહ્યું કે મારે થોડા ઓછા માર્ક્સ આવ્યા હોત અને ટોપર ના બની હોત તો સારું. પ્રાચીને કેમ આવું કહેવું પડ્યું? તેના કારણો જાણીએ તો સ્વાભાવિક જ રોષ જન્મે છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી પંદર વરસની આ કન્યા યુ.પી.ના સીતાપુર જિલ્લાના મહેમુદાબાદની સીતા ઈન્ટર કોલેજમાં ભણતી હતી. તેની તેજસ્વીતા, મહેનત અને લગનનું પરિણામ હતું કે સમગ્ર રાજ્યના પંચાવન લાખ પરીક્ષાર્થીઓમાં તે પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ. તેની સફળતાના ઓવારણા તો લેવાતા હતા જ. પરંતુ સમાજનો એક વર્ગ તેને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરતો હતો. પ્રાચીના અપરલિપ્સ પર વાળ છે તે તેની તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે. બાહ્ય સુંદરતાઘેલા કેટલાક લોકોને તેનો જ વાંધો પડ્યો. એટલે કોઈએ આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ થકી તેના ચહેરાને રૂપાળો બનાવ્યો,કોઈએ શેવ કરવાની સલાહ આપી, કોઈએ મિમ્સ બનાવ્યા, ઘણાંએ ભણવા સાથે ચહેરાની માવજત કરવા કહ્યું અને બહુ બધાએ તેના ચહેરા પરના વાળની મજાક કરી. સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચેલી આ કન્યા ટ્રોલિંગથી આહત ન થાય તો જ નવાઈ. આરંભિક અફસોસ પછી પ્રાચીએ જાતને સંભાળી લીધી અને ટીકાખોરોની જમાતને દમદાર જવાબ પણ આપ્યો.
કેટલીક મહિલાઓને શરીર પરનાં અનિચ્છનીય વાળનો સામનો કરવો પડે છે. ચહેરો,, હાથ, પીઠ અને છાતી પર વાળ ઉગવાનું કારણ બાયોલોજિકલ, હોર્મોનલ ઈમ્બેલેન્સ કે અસંતુલિત હોર્મોન્સ છે. પ્રાચીના ચહેરા પર મૂછ જેવા જે વાળ ઉગ્યા છે તેને પ્રાચી, તેનો પરિવાર, શાળાના શિક્ષકો અને તેના સહાધ્યાયીઓએ કશું મહત્વ આપ્યું નથી.પરંતુ તે ટોપર બનતાં તેની તસવીરો અનેક માધ્યમોમાં પ્રગટ થતાં તે મજાક અને ટીકાનું પાત્ર બની છે. પ્રાચી કોઈ ગોખણશી છોકરી નથી. ઉચ્ચ મૂલ્યો અને સકારાત્મ્ક વિચારો સાથે તે ભણે છે. ટ્રોલિંગ જે હદે થયું તે હદની નહીં તો તેનાથી વધતી-ઘટતી સ્થિતિનો સામનો તેણે અગાઉ ઘણી વાર કર્યો છે. આગળ અભ્યાસ જારી રાખીને ઈજનેર બનવા માંગતી આ કિશોરી માટે તેનું ધ્યેય અગત્યનું છે નહીં કે શરીરની બનાવટ. તેણે ટ્રોલરિયાઓને રોકડું પરખાવતાં કહ્યું છે કે જ્યારે જરૂર જણાશે ત્યારે હું મારો ઈલાજ કરાવી લઈશ પણ હાલમાં તો મારું લક્ષ મન દઈને ભણવાનું છે. વિષાક્ત સાઈબર સ્પેસ સંદર્ભે પ્રાચી માને છે કે ક્ષણિક્નું મનાતું ટ્રોલિંગ પણ વ્યક્તિ પર નકારાત્મક અસર કરે જ છે તેથી આવા તત્વો પર કાર્યવાહી થવી જોઈએ.
પ્રાચીને ટીકાકારોની જેમ સમર્થકો પણ મળ્યા છે. તેની જ સ્કૂલના બે અન્ય ટોપર્સ હેમંત વર્મા અને જ્ઞાનેન્દુ વર્માએ # ડોન્ટ ટ્રોલ પ્રાચી કેમ્પેન શરૂ કર્યું છે.તેને ઘણો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર પ્રાચી વિશેની સઘળી ટિપ્પણીઓનો આ સહપાઠીઓ જ જવાબ વાળે છે. શાળાના આચાર્ય, શિક્ષકો અને વિધ્યાર્થીઓ સતત પ્રાચીના પક્ષે રહ્યા છે. સુંદરતાને સર્વોચ્ચ માનતા લોકોને સ્કૂલ પ્રિન્સિપાલ બહુ ગંદી ભાવના ધરાવનારા ગણાવે છે.
પ્રાચીના ટેકામાં બોમ્બે શેવિંગ કંપનીએ જાહેરખબર પ્રકાશિત કરી છે. જેમાં તેણે પ્રાચીનો બચાવ કર્યાનો દાવો કર્યો છે. કંપનીએ ડીયર પ્રાચીના સંબોધન સાથેની એડમાં લખ્યું છે કે જે લોકો આજે તારા ચહેરા પરના વાળને લીધે તને ટ્રોલ કરી રહ્યા છે તે કાલે પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ માટે તારી પ્રસંશા કરશે. જોકે કંપની જાહેરખબરમાં તેનું તકવાદી માનસ પ્રગટ કરતાં ના રહી શકી.તેણે માર્કેટિંગ કરતાં લખ્યું , અમે આશા રાખી છીએ કે અમારું રેઝર ઉપયોગ કરતાં જ તને કોઈ પરેશાન નહીં કરે. કંપનીની આ એડ્નો વ્યાપક વિરોધ થયો છે. એડવર્ટાઈઝીંગ સ્ટાન્ડર્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ASCI)એ લોકોના આક્રોશની નોંધ લઈને આ જાહેરખબરની તપાસ શરૂ કરી છે. સરકારના ઈશારે પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ ( PGI ) , લખનૌએ પ્રાચીના મફત ઈલાજની ઓફર કરી છે.
આખરે આ સુંદરતા એટલે શું અને તેના માપદંડો ક્યા ? સુંદરતાને પરિભાષિત કરવી કઠિન છે. બાહ્ય સુંદરતા કે શરીરની સુંદરતા પિતૃસત્તાત્મક વિચારની પેદાશ છે. જેણે મહિલાઓના માથે તે થોપી છે. લગભગ તમામ વયની મહિલાઓને સુંદરતા વળગાડી છે. પણ કિશોર અને યુવાન વયમાં તે વિશેષ છે. લગ્ન વિષયક જાહેરાતોમાં ગોરી, નમણી,નાજુક, સમપ્રમાણ કદ કાઠી , કાળા લાંબા ભરાવદાર અને સીધા વાળ, નાનું નાક અને મોટી પાણીદાર આંખો ધરાવતી મહિલાઓની માંગ સૌ કોઈ કરે છે. પુરુષોની સુંદરતાની સમજ જ નહીં સોંદર્યના બજારની પણ આ માયાજાળ છે.
સોંદર્યનું બજાર કદી મંદ પડતું નથી. સોંદર્ય પ્રસાધનોની વિશ્વની ટોપ બ્રાન્ડ ભારતમાં પુષ્કળ કમાણી કરે છે. ભારતનો કોસ્મેટિક ઉધ્યોગ સૌથી વધુ કમાણી કરતો વિશ્વનો ચોથા નંબરનો ધંધો છે. શરીર સોંદર્ય અને વ્યક્તિગત માવજતના સાધનોનું બજાર ૨૦૨૦માં એક લાખ કરોડ રૂપિયાનું હતું જે આવતા વરસે બે લાખ કરોડનું થવાનું છે. સુંદરતાના બજાર અને સમાજે બનાવેલા વિચારજડ માપદંડોમાં મહિલાઓ જકડાયેલી છે. એટલે પોતાની નાની શી બદસૂરતી પણ તે બરદાસ્ત કરતી નથી અને પોતાના આવા શરીરને તે ખુદ જ સ્વીકારતી નથી. અભાવગ્રસ્ત જિંદગી અને તેની જદ્દોજહદ વચ્ચે શરીરની બહારની સુંદરતાની તેની સમજ બજાર પર આધારિત છે. સુંદરતાના બજારની સૌથી મોટી ગ્રાહક મહિલાઓ જ હોય છે. હવે તેમાં પુરુષો પણ ફસાયા છે. ગોરા થવાની મેન્સ ફેરનેસ ક્રીમ અને સાબુ પણ ધૂમ વેચાય છે. ભારતના કુલ સોંદર્ય બજારનો ચોથો ભાગ તો નાહવાના સાબુનો છે. ગોરી ચામડી માટેના પ્રસાધનો ૨૦ ટકા અને માથામાં નાંખવાના તેલનો હિસ્સો ૧૫ ટકા છે.
પ્રાચી નિગમના અપરલિપ્સ પરના વાળની મજાક કરતો સુંદરતાઘેલો સમાજ ખરેખર તો સુંદરતાના બજારથી ઘેરાયેલો છે. બોડી શેમિંગની નઠારી અસર બાળકોના મન પર પડે છે. તેઓ લઘુતાગ્રંથિ કે હીન ભાવ અનુભવે છે. તેની અસર તેમના અત્મવિશ્વાસ અને અભ્યાસ પર પડે છે. ફિલ્મો, સોંદર્ય પ્રસાધનના સાધનોના વિજ્ઞાપનો અને નટનટીના રૂપાળા દેખાવાના ખર્ચા અને નખરાંથી અછૂતા રહી શકતી પ્રાચી જેવી કોઈ વિરલ તેજસ્વી કન્યા પણ મજાક અને આલોચનાનો શિકાર બને છે.તો સામાન્ય દેખાવના લોકોનું તેની સામે ટકવાનું શું ગજું . સોશ્યલ મીડિયા અને દેખાવડા લોકોને ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમ પર મળતી પ્રાથમિકતા પણ બળતામાં ઘી હોમે છે. દરમિયાન હાલમાં તો દસમી ટોપર પ્રાચીને અભિનંદન અને સોંદર્યઘેલછાની દેશવ્યાપી ચર્ચા માટે આભાર.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ઈશ્વરને ઇ મેઇલ – નવી શ્રેણી શરૂ થવાને ટાણે વિષય અને લેખિકાનો પરિચય
આ મહિનેથી દર ત્રીજા મંગળવારે સુશ્રી નીલમબેન દોશીનાં પુસ્તક ‘ઈશ્વરને ઇ મેઇલ’ને ક્રમશઃ પ્રકાશિત કરવાનું આયોજન કરેલ છે.
વેબ ગુર્જરી પર આ લેખમાળા પ્રકાશિત કરવાની સહમત આપવા બદલ સુશ્રી નીલમબેન દોશીનો આપણે આભાર માનીએ છીએ અને તેમનું સહર્ષ સ્વાગત કરીએ છીએ.
સંપાદક મંડળ – વેબ ગુર્જરી
એક ડગલું આગળ…
પત્ર સાહિત્ય હમેશા મને આકર્ષતું રહ્યું છે. કારણ કદાચ એટલું જ કે એમાં આખ્ખેઆખ્ખું મન મન અનાયાસે ઠલવાતું હોય છે, ભીતરની સંવેદના કોઇ પ્રયાસ સિવાય ઉલેચાતી હોય છે.જેમાં દિલની સચ્ચાઇ અને સંવેદનાનું અજબ સામંજસ્ય રચાઇ જતું હોય છે. મેઘધનૂષની જેમ એક પછી એક અનેક રંગો ઉઘડતા રહે છે અને આખરે જાણે બધું શ્વેત રંગમાં એકાકાર બની રહે છે.
દીકરી, દીકરો, સાસુ, વહુ, મિત્ર..અનેક સંબંધોને ઉદ્દેશીને પત્રો લખાયા. એ લખતી વખતે એ દરેક સંબંધો ફરી એકવાર જિવાયા. એમની સાથેના સ્મરણો, એ મીઠાશ ફરી એકવાર માણી..અસંખ્ય ભાવકોના હૂંફાળા પ્રતિસાદથી છલકાણી. અનેક નવા, તાજગીભર્યા સુંદર સંબંધો આ પત્રોએ આપ્યા.
થોડા સમય પહેલા અરૂણોદય પ્રકાશનના શ્રી ચંદ્રમૌલિભાઇએ પ્રાર્થના જેવું કશુંક લખી આપો ને. એવો પ્રસ્તાવ મૂકયો. મને ગમ્યો. અલબત્ત શું લખવું એ માટે કોઇ ચોક્કસ ફોર્મેટ મનમાં સ્પષ્ટ નહોતું. પ્રાર્થનાના અનેક સુંદર પુસ્તકો અગાઉ વાંચ્યા હતા. એના કરતા કશુંક અલગ કરવું હતું. અલબત્ત પ્રાર્થના એટલે વાત તો ભીતરમાં બિરાજમાન ઇશ્વરની જ આવવાની. એટલે સહજ રીતે એ જ બધી વાતો આવવાની જે અગાઉ બધા કહી ચૂકયા હોય. એમાં હું નવું શું કરી શકવાની ? એવી અવઢવ, એક મથામણ મનને મૂંઝવતી રહી. ચન્દ્રમૌલિભાઇના એ જ વિષયના આગ્રહને લઇને લખવા તો બેઠી. બે પાંચ લેખો લખ્યા. ચન્દ્રમૌલિભાઇને મોકલ્યા. તેમને ગમ્યા. ગ્રીન સીગ્નલ આપ્યું પણ પૂરી નિખાલસતાથી કહું તો મારી ભીતર હજુ કોઇ પિંડ નહોતો બંધાયો. લખવાની મજા નહોતી આવતી. અને મને પોતાને મજા ન આવે ત્યારે હું કદી લખતી નથી. જે લખતા મને જ મજા ન આવે કે સંતોષ ન થાય તો મારા વાચકોને કયાંથી સ્પર્શે ? એટલે એ કામ થોડા સમય પૂરતું અટકાવી દીધું. મનમાં વિષય તો પ્રાર્થનાનો જ ઘૂંટાતો રહ્યો હતો. એથી ઇશ્વરની, અવકાશની, અખિલાઇની સર્જનહારની વાતો મનમાં ચાલતી રહી.
અચાનક એક દિવસ ઉંઘમાં, સપનામાં જ જાણે ભગવાન મને કોઇ ફરિયાદ કરતા હોય એવું અનુભવાયું. અલબત્ત ઘણાં દિવસોથી મનમાં આવા વિચારો ચાલતા હતા એ જ વાતનું પ્રતિબિંબ સપનામાં પડયું હતું. બાકી ખરેખર ભગવાનનો સાદ સાંભળી શકું એવી કોઇ કક્ષા, એવી કોઇ પાત્રતા મારી નથી એનાથી હું અજાણ નથી. પણ સપના તો અચૂક આવતા રહ્યા. બે ચાર દિવસ લાગલગાટ જાણે ભગવાન મને કશુંક કહેતા રહ્યા.
અને બસ..એ કશુંક અનાયાસે કાગળમાં..લેપટોપમાં ઉતરતું રહ્યું. ભગવાનને પણ આજે આપણી સામે કેટકેટલી ફરિયાદો હશે જ ને ? એમને પણ કંઇક કહેવાનું મન થતું હશે ને ?
એવા કોઇ વિચાર સાથે ભગવાનની ફરિયાદ, વ્યથા, પીડા જાણે મારા મનમાં ઉભરતી રહી. શબ્દોરૂપે ઠલવાતી રહી. પૂરી પ્રામાણિકતાથી કહું તો બે ટકા પ્રયત્નો અને અને અઠાણું ટકા સાવ અનાયાસે શબ્દો આવતા ગયા. વાતોનો, શબ્દોનો જાણે ધોધ ફૂટી નીકળ્યો. શું લખવું, કેમ લખવું, કયા ફોર્મેટમાં લખવું એવા કોઇ પ્રશ્ન જ ન આવ્યા.. બધું આપમેળે જ ચાલતું રહ્યું. ઇશ્વર સાથે વાત કરતી વખતે પણ સાવ સહજતાથી પત્રનું જ સ્વરૂપ આવી ગયું હતું એ તો બે ચાર પત્રો લખાઇ ગયા બાદ જ મને ભાન થયું. સામાન્ય રીતે કંઇ પણ લખ્યા પછી એને મઠારવાનું અચૂક બનતું હોય છે. પરંતુ આ લખાયા પછી એને એક પણ વાર મઠારવાની તો શું બીજી વાર વાંચવાની સુધ્ધાં તકલીફ નથી લીધી..એવું મન જ ન થયું. જાણે બીજી વાર વાંચીશ તો કશુંક વધારવા, ઘટાડવાનું મન થાય અને એની સહજતા, એનો લય ખોરવાઇ જાય તો ? એવો કોઇ ભય મનમાં હતો કે શું ?
જે પણ હોય તે.પરંતુ બીજી વાર વાંચ્યા સિવાય જ ચંદ્રમૌલિભાઇને મોકલી દીધા. કે પ્રાર્થનાને બદલે મારા મનમાં આવું કશુંક સૂઝયું છે અને એ જ ઠલવાયું છે. મને લખવામાં ખૂબ મજા પડી છે અને એમાં હવે મારે કોઇ ફેરફાર કરવો નથી.
ઇશ્વર સાથેની આ અનાયાસ યાત્રા દરમ્યાન મારું બોલવાનું લગભગ શૂન્ય બની ગયું હતું. જોકે ઘરમાં બોલવાવાળું કોઇ હતું પણ નહીં. પણ આ સમય દરમ્યાન ફોન, ફેસ બુક, વોટસ અપ, ઇ મેઇલ વગેરે પણ અટકી ગયા હતા. મારી એકલતામાં મદદગાર એ બધા સાધનો યાદ જ નહોતા આવ્યા એમ કહી શકું. રાત્રે એક વખત પતિદેવ સાથે ફોનમાં વાત કર્યા સિવાય બીજા કોઇ જ સાથે હું સંપર્કમાં નહોતી રહી. આ ગાળા દરમ્યાન હું લગભગ અલિપ્ત જેવી બની રહી. ફકત ઇશ્વર સાથે અનુસંધાન રચાતું રહ્યું એમ જાતને છેતર્યા સિવાય પૂરી પ્રામાણિકતાપૂર્વક કહી શકું. મારી શારીરિક તકલીફો અવગણાતી રહી. નિજાનંદનો જે અહેસાસ આ પત્રોએ મને કરાવ્યો છે એ કદાચ મારા જીવનનો એક અદભૂત અનુભવ બની રહ્યો. શબ્દો મને સાત સાગર પાર લઇ ગયા છે, પણ આજે શબ્દો જાણે મને ઇશ્વર સુધી લઇ ગયા છે એ અનુભૂતિની એક પરમ પ્રસન્નતા આ લેખનયાત્રા દરમ્યાન સતત સાથે રહી.
આ લખતા લખતા હું પોતે ભીતરના અજવાસની દિશામાં વધારે નહીં તો યે એકાદ ડગલું જરૂર આગળ વધી છું એવી અનુભૂતિ પામી શકી છું. મારી અંદરના બાવા જાળાની સંપૂર્ણપણે નહીં તો યે થોડે અંશે સફાઇ થઇ શકી છે. ઉજાસની એકાદ લકીર, એકાદું કિરણ મારી ભીતર પ્રવેશી શકયું હોય એવો અગાઉ કદી ન અનુભવેલો આનંદ પામી રહી છું. અને મને પૂરી શ્રધ્ધા છે કે આ જ કિરણનો ઉજાસ આ પુસ્તકના વાચકો, ભાવકોના હ્રદયમાં જરૂર ઉઘડશે અને છીએ એના કરતા થોડા..ભલે ને સાવ જ થોડા પણ વધારે સારા બનવાની દિશામાં મારી જેમ જ એકાદ ડગલું આગળ તો જરૂર મંડાશે જ.
અહીં ઇશ્વર આપણો દોસ્ત, સખા બનીને આપણી સાથે વાત કરે છે. અને સાચા મિત્રની વાત અવગણવી કંઇ સહેલી તો નથી જ ને ? આ પ્રકારે ઇશ્વરે લખેલા પત્રોનું કોઇ પુસ્તક અગાઉ લખાયું છે કે કેમ એની મને જાણ નથી. પણ મેં વાંચ્યું નથી એટલી જાણ છે. હા, ઊઘડતા દ્વાર અંતરના , સુશ્રી ઇશા કુંદનિકાનું પ્રિય માનવને ઉદ્દેશીને લખાયેલું ખૂબ મજાનું પુસ્તક ચોક્કસ વાંચ્યું છે. ખૂબ ગમ્યું છે. એ વાંચતી વખતે મારાથી ઇશ્વર સાથે મૈત્રીભાવ નહીં પણ આદરભાવ અનુભવાયો છે. ઉપરાંત આદરણીય કુંદનિકાબહેનનું પરમ સમીપે તો અનેક વાર વાંચ્યું છે , અનુભવ્યું છે, માણ્યું છે. ભીતરમાં સંગ્રહાયેલા એ બંને પુસ્તકની છાયા વત્તે ઓછે અંશે અહીં કયારેક અનુભવાય તો આશ્વર્ય નહીં થાય. એ બંને પુસ્તક અને એમના સર્જકની દિલથી રૂણી છું.
આ લખતી વખતે તો કોઇ જ મિત્રો, સ્વજનો, મનમાં પ્રવેશ્યા નહોતા. ફકત અને ફકત પરમ તત્વ સાથે જ અનુસંધાન રહ્યું છે.
હું એટલે નીલમ હરીશ દોશી..
જીવનની ગમતી ક્ષણો..એટલે મારી શબ્દયાત્રા….અને આ યાત્રામાં મિત્રો સામેલ થાય તો એથી વિશેષ રૂડું બીજું શું હોઇ શકે ? અહીં જે લખાય તેમાંથી આપને ગમે તે આપનું…અને ન ગમે તે મારું તો છે જ..! આ સહિયારી યાત્રામાં ગુલાલના થોડા છાંટણાથી આપની બે ચાર ક્ષણો રંગી શકાય તો પણ એની સાર્થકતા. જીવન પ્રત્યે સતત પોઝીટીવ.. હકારાત્મક અભિગમ એ જીવનલક્ષ્ય….અને એ જ આશા સાથે….અને શબ્દો જીવનમાં પણ મહોરી ઉઠે એ લેખન અને લેખકની કસોટી. એ કસોટીમાં કેટલે અંશે સફળ થઇ શકીશ. તે જાણ નથી. પણ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો ચાલુ રહેશે જ..કોઇ શકા, આશંકા વિના…
” મારું જીવન..એ જ મારો સંદેશ..’ એમ તો ગાંધીજી જેવા મહાન વ્યક્તિ કહી શકે..મારી એ પાત્રતા નથી..એ જાણું છું. પરંતુ કયારેક મારા શબ્દો..મારું લેખન.. એ જ મારું જીવન બની રહે…એવી ભાવના સાથે…
વાર્તાઓ, લેખો, કાવ્યો, લલિત નિબંધો વિગેરે રચનાઓ અવારનવાર અખંડ આનંદ, નવનીત સમર્પણ, શબ્દ્સૃષ્ટિ, પરબ, દિવ્યભાસ્કર, સંદેશ, ગુજરાત,જન્મભૂમિ પ્રવાસી, અભિયાન, મુંબઇ સમાચાર, અહા ઝિન્દગી, ઉદ્દેશ, કાવ્યસૃષ્ટિ, શબ્દસર, વિચારવલોણુ, જનકલ્યાણ, સ્ત્રી,જલારામ દીપ, છાલક વગરેમાં પ્રકાશિત થતી રહે છે.
ગુજરાતી બ્લોગ : પરમ સમીપે – https://paramujas.wordpress.com
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com
-
કોઈનો લાડકવાયો – (૪૮) દક્ષિણેશ્વર બોંબ કેસ
દીપક ધોળકિયા
કાકોરી કાંડમાં રાજેંદ્ર લાહિડીને મૃત્યુદંડ મળ્યાનું આપણે વાંચી લીધું. એમના વિશે વધારે જાણવાની જરૂર છે.
એમનો જન્મ તો બંગાળના પબના જિલ્લા (હવે બાંગ્લાદેશ)માં થયો પણ પિતાએ એમને આગળ ભણવા વારાણસી મોકલ્યા. અહીં એ રામપ્રસાદ બિસ્મિલ, ચન્દ્રશેખર આઝાદ, ભગત સિંહ વગેરેના સંપર્કમાં આવ્યા અને હિન્દુસ્તાન રીપબ્લિકન આર્મી (HRA)માં જોડાઈ ગયા. થોડા વખત ઉત્તર પ્રદેશની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા, તે પછી HRAએ બોંબ બનાવવાનું નક્કી કર્યું. આની તાલીમ લેવા માટે લાહિડીને ફરી પાછા બંગાળ મોકલવામાં આવ્યા.
બંગાળમાં ક્રાંતિકારીઓ વધારે સક્રિય હતા અને સશસ્ત્ર વિદ્રોહની તૈયારીઓમાં લાગ્યા હતા. બૅંક લૂંટવી કે નાનામોટા છાપા મારવામાં એમને બહુ રસ નહોતોં. એટલે એમણે દક્ષિણેશ્વર અને એની પાસેના શોભા બજારમાં બોંબ બનાવવાનાં કારખાનાં બનાવ્યાં હતાં. દક્ષિણેશ્વર રામકૃષ્ણ પરમહંસના કાલિમંદિરનું ધામ છે. અહીં યાત્રાળુઓની અવરજવર બહુ રહેતી એટલે પોલીસનું ધ્યાન કોઈ ગુપ્ત હિલચાલ પર જાય એવી શક્યતા ઓછી હતી. આ કારણે બધા ક્રાન્તિકારીઓ દક્ષિણેશ્વર અથવા શોભાબજારમાં જ રહેતા હતા.
૧૯૨૪ના જૂનમાં એક બ્રિટિશ વેપારીને ક્રાન્તિવીર હરિમોહન શહાએ મોતને ઘાટે ઉતારી દીધો. જો કે એની હત્યા ભૂલથી થઈ હતી. ખરેખર તો પોલીસ કમિશનર ચાર્લ્સ ટૅગર્ટને મારવાનો હતો. યુગાંતર સંગઠન અંગ્રેજો પર સતત હુમલા કરતું હતું પણ બંગાળ પ્રાંતની સરકાર આ બ્રિટિશ વેપારીની હત્યા પછી બહુ જ સક્રિય બની ગઈ.
૧૯૨૫ની ૧૦મી નવેમ્બરે દક્ષિણેશ્વરના કારખાનામાં જ બોંબ ફાટ્યો. ધડાકાથી પોલીસ ઝબકીને જાગી અને બન્ને સ્થળોએ દરોડા પાડીને કેટલાક ક્રાન્તિકારીઓને પકડી લીધા. આમાં રાજેંન્દ્ર લાહિડી ઉપરાંત બીજા આઠ – હરિનારાયણ ચંદા ( દક્ષિણેશ્વર જૂથના નેતા), અનંતહરિ મિત્રા, નિખિલ બૅનરજી, બીરેન બૅનરજી, સુધાંશુ ચૌધરી, ધ્રુબેશ ચૅટરજી. દેબીપ્રસાદ ચૅટરજી અને રાખાલ ડે પકડાઈ ગયા. એ જ દિવસે પોલીસે શોભાબજારમાંથી પ્રમોદ રંજન ચૌધરી અને અનંત ચક્રવર્તીને પણ પકડી લીધા. બધાને અલીપુર સેંટ્રલ જેલમાં મોકલી દેવાયા. માત્ર દોઢ મહિનામાં, ૧૯૨૬ની ૯મી જાન્યુઆરીએ કેસનો ચુકાદો આવ્યો અને જુદી જુદી સજાઓ કરવામાં આવી. નિખિલ, રાખાલ, ધ્રુબેશ અને બીરેનને પાંચ વર્ષની સખત કેદ અને દેબી પ્રસાદ અને સુધાંશુને બે વર્ષની સખત કેદ મળી. હરિનારાયણ ચંદા, અનંતહરિ મિત્રા અને રાજેન્દ્ર લાહિડીને દસ વર્ષ માટે કાળા પાણીની સજા થઈ. પરંતુ કાકોરી કાંડાના કેસમાં પણ લાહિડીનું નામ આવતાં એમને લખનઉ સેંટ્રલ જેલમાં મોકલી દેવાયા.
પરંતુ દક્ષિણેશ્વર બોંબ કેસના આરોપી ઉપરાંત અલીપુર સેંટ્રલ જેલમાં બીજા ક્રાન્તિકારીઓ પણ હતા અને એ શાંત નહોતા. ૧૯૨૬ના મે મહિનાની ૨૮મીએ એમણે નામચીન સ્પેશિયલ સુપરિન્ટેન્ડન્ટ રાયબહાદુર ભૂપેન્દ્રનાથ ચૅટરજીની જેલના કંપાઉંડમાં જ હત્યા કરી. એ ચાલાક હતો અને કેદીઓમાં મિત્ર તરીકે ભળી જતો અને માહિતી કઢાવવાની કોશિશ કરતો. બે ક્રાન્તિકારીઓ જદુનાથ અને યોગેશ ચંદ્ર ચૅટરજીએ આપેલી જુબાની મુજબ ક્રાન્તિકારીઓને એના માટે નફરત હતી અને એમણે એને માથા પર લોખંડનો સળિયો મારીને હત્યા કરી.
આ ઘટના પછી દક્ષિણેશ્વર કેસ ફરીથી ખોલવામાં આવ્યો અને પ્રમોદ રંજન, અનંતહરિ અને બીરેનને ફાંસીની સજા કરવામાં આવી અને બાકીના બધાને તરીપાર કરાયા. આ ચુકાદા સામે બૅરિસ્ટર એ. સી. મુખરજીએ કલકત્તા હાઈકોર્ટમાં અપીલ કરી તેમાં બીરેનની ફાંસી માફ થઈ ગઈ અને પ્રમોદ રંજન ચૌધરી અને અનંતહરિ મિત્રાને ૨૮મી સપ્ટેમ્બર ૧૯૨૬ના રોજ ફાંસી આપી દેવાઈ.
એમની ફાંસી પછી જે વિગતો બહાર આવી તે પ્રમાણે સુપરિન્ટેન્ડન્ટ પર સળિયાનો પ્રહાર ખરેખર નિખિલ બૅનરજી અને ધ્રુબેશ ચૅટરજીએ કર્યો હતો પણ રાયબહાદુર ભૂપેન્દ્રનાથને મારવાનો નિર્ણય સૌનો હતો એટલે કોને સજા થાય છે તે ક્રાન્તિકારીઓને મન મહત્ત્વની વાત નહોતી. એટલે કોઈએ આ વાત જાહેર ન કરી અને જેમણે ખરેખર હત્યામાં સીધો ભાગ નહોતો લીધો તે બે જણ પોતાના ગુપ્તતાના સોગંદ ખાતર ફાંસીએ ચડી ગયા.રાજેન્દ્ર લાહિડીને પછી કાકોરીના કેસ સાથે જોડીને ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાની જેલમાં ફાંસી આપી દેવાઈ.
બધા વીરોને શત શત નમન.
000
સંદર્ભઃ
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
ધ્રોળ ધ્વજ સત્યાગ્રહ (ઈ. સ. ૧૯૩૧)
મહેબૂબ દેસાઈ
રાષ્ટ્રધ્વજ પરત મેળવવા ગુજરાતમાં ધ્રોળની પ્રજાએ કરેલો સત્યાગ્રહ. સૌરાષ્ટ્રમાં હાલના જામનગર જિલ્લામાં આવેલા ધ્રોળના જૂના દેશી રાજ્યમાં રાજા દોલતસિંહ(૧૯૧૪–૧૯૩૯)ના સમયમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને કચડી નાંખવામાં આવતી. ત્યાંના રાષ્ટ્રવાદી નેતા પુરુષોત્તમ ઉદેશીને રાજ્યની પોલીસે માર્ચ ૧૯૩૧માં જેલમાં પૂરી ખૂબ મારવાથી લોકોમાં ભય ફેલાયો હતો. ગાંધી-ઇર્વિન કરાર બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા.
૧૯૩૧માં કરાંચીમાં કૉંગ્રેસ અધિવેશનમાં ધ્રોળના આગેવાનોએ ભાગ લઈ, રાજ્યના અન્યાય સામે લડવાની પ્રેરણા મેળવી. કૉંગ્રેસનો સંદેશો લોકોને પહોંચાડવા સ્થાનિક નેતાઓએ ધ્રોળમાં જાહેર સભા યોજી. રાજ્યની પોલીસે નિયત સ્થળે એકઠા થયેલા લોકોને વિખેરી નાખી પુરુષોત્તમભાઈ પાસેથી રાષ્ટ્રધ્વજ ખૂંચવી લીધો. તેથી તેમણે ધ્વજ મેળવવા ઉપવાસ કરી સત્યાગ્રહ આરંભ્યો. સૌરાષ્ટ્રના આગેવાન મણિલાલ કોઠારી ધ્રોળના દીવાનને મળ્યા ત્યારે દીવાને રાષ્ટ્રધ્વજ પાછો આપવાની ખાતરી આપવાથી પુરુષોત્તમભાઈએ પારણાં કર્યાં.
પરંતુ ઘણા દિવસ સુધી ધ્વજ પરત ન મળવાથી ફૂલચંદભાઈ શાહે પાંચ સ્ત્રીઓ સહિત ૫૪ સત્યાગ્રહીઓ સાથે ધ્રોળ જઈ ૨૬ મે, ૧૯૩૧ના રોજ સરઘસ કાઢી, દરબારગઢ ચોકમાં સભા ભરી ધ્વજ સોંપી દેવાની માગણી કરી. બીજે દિવસે સભા-સરઘસની મનાઈ ફરમાવી, સત્યાગ્રહીઓ પર લાઠીમાર કરી પુરુષોત્તમ ઉદેશીની ડેલીમાં જ બધાને ૨૪ કલાક સુધી પૂરી દેવામાં આવ્યા. ૩૦ મે, ૧૯૩૧ના રોજ ધોલેરા, બરવાળા, ભાવનગર વગેરે સ્થળેથી આવેલા સત્યાગ્રહીઓ સભા, સરઘસ તથા ઉપવાસમાં જોડાયા. ધ્રોળના લોકોએ સાંજે તેમને પારણાં કરાવ્યાં.
૩૧ મે, ૧૯૩૧ના રોજ પોલીસે ધ્વજ પરત કર્યો ત્યારે લોકોએ વિજયનો ઉત્સવ ઊજવ્યો.
આ સત્યાગ્રહથી ધ્રોળની કચડાયેલી પ્રજામાં અપૂર્વ જાગૃતિનો સંચાર થયો.
સંપાદકીય નોંધ:
૧. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘ઇતિહાસ – ગુજરાત’ વિષયમાંથી પસંદ કરેલ છે.
૨.. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.
-
મનભેદ
નિરંજન મહેતા
વહાલી સુલુ,
આપણે રૂબરૂમાં જે વિષય પર ચર્ચા કરી હતી ત્યારબાદ લાગ્યું કે તારા મનમાં બંધાયેલી ગ્રંથિઓને કારણે તને મારી વાત યોગ્ય નથી લાગી. કદાચ તે વિષે વિચાર કરવાની પણ તારી ઈચ્છા ન હોય તે પણ શક્ય છે એટલે આજે આ પત્ર દ્વારા મારા વિચારો સ્પષ્ટ કરૂ છું, સ્વસ્થ મને તે પર તું વિચાર કરશે જ તેની મને ખાત્રી છે.
ચિ. સ્વાતિનો ઉછેર આપણે સારી રીતે કર્યો છે અને તે માટે મારા કરતાં તે તેનો વધુ ખ્યાલ રાખ્યો હતો તે મારી જાણ બહાર નથી. સંતાનને સારા સંસ્કારો અને સારૂં ભણતર આપવું જે આપણી ફરજ હતી તે આપણે અને ખાસ કરીને તે સારી રીતે બજાવી છે તેમાં બે મત નથી. આજે જે રીતે સ્વાતિ સમજદાર ગણાય છે તે આપણા અહોભાગ્ય.
હવે મૂળ મુદ્દા પર આવું. સ્વાતિએ કપિલ સાથે પોતાની મરજીથી લગ્ન કર્યા જે માટે તારી નામરજી હતી. તે ન કેવળ મારી આગળ પણ સ્વાતિ આગળ પણ તારી આ નારાજગી વ્યક્ત કરી હતી. પણ પોતાના ભવિષ્યનો વિચાર કરતા સ્વાતિને પોતાનું પગલું યોગ્ય લાગ્યું અને જ્યારે તારો સાથ ન મળ્યો ત્યારે સિવિલ લગ્ન કરી લીધા અને પોતાનો અલગ ઘરસંસાર માંડ્યો. આં પણ તને પસંદ ન હતું.
કપિલ આપણી નાતનો નથી અને આપણી નાતમાં છોકરાઓની ખોટ પણ નથી. વળી કપિલની આર્થિક સ્થિતિ પણ સામન્ય છે એટલે સ્વાતિને ગૃહસ્થીમાં તકલીફ રહેવાની આવા વિચારો તે તારા મનમાં ધરબી રાખ્યા છે જેને કારણે ન તો તે આજ સુધી સ્વાતિને તેના નવા અવતારમાં અપનાવી છે ન તો તેની સાથે બોલવાનો સંબંધ પણ રાખ્યો છે.
ડિયર, આજે એકવીસમી સદી ચાલે છે. એટલે લોકોના માનસમાં ઘણા ફેરફાર થયા છે, તેમાંય ખાસ કરીને મુંબઈ જેવા અદ્યતન શહેરમાં વસતા લોકોની વાત જ ન્યારી છે. તારા જેવી ગ્રેજ્યુએટ મહિલાના વિચારો તો આગળ વધવા માટેના હોય. તેવી મહિલા જરૂર લાગે ત્યાં બાંધછોડ કરવા તૈયાર જ હોય. તેમ છતાં લાગે છે કે તારા સ્વાતિ પ્રત્યેના વિચારો અને વલણમાં કોઈ ફેરબદલાવ જણાતો નથી એટલે વાતચીત દ્વારા તેનો હલ ન દેખાતા આ પત્ર દ્વારા તારા વિચારોમાં કોઈ ફરક થાય તેમ માની લખું છું.
તું તો જાણે છે કે કપિલ ભણેલો-ગણેલો છે. તેના માતાપિતા પણ ગ્રેજ્યુએટ હોઈ તેમણે કપિલને એન્જીનિઅર બનાવવા સાથે સાથે સારા સંસ્કાર પણ આપ્યા છે. આ બધું તારી જાણ બહાર નથી તેની મને ખાત્રી છે. પણ તે છતાં તું હજી તારા વલણમાં મક્કમ ઊભી છે.
તને કદાચ કપિલની આર્થિક સ્થિતિની માહિતી ન પણ હોય એટલે તેની પણ જાણ કરી દઉં. આજકાલ સારી કંપનીમાં નોકરી મેળવવી કેટલી મુશ્કેલ હોય છે તે તને કહેવાની જરૂર છે? તેમ છતાં પોતાની લાયકાત ઉપર તે એક પ્રતિષ્ઠિત કંપનીમાં સારા હોદ્દા પર સ્થિત છે. શું આ તેની લાયકાત પુરવાર કરવા માટે બસ નથી? અરે, આ જ લાયકાતને કારણે તે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે અને મારા હિસાબે તો નજીકના ભવિષ્યા તે ઉચ્ચ હોદ્દા પર પણ પહોંચી જશે. હું તો ત્યાં સુધી માનું છું કે આજે જ્યારે નવોદિતોને તેમનાં સામર્થ્યને વિકસાવવા તક મળે છે તો કપિલ પોતાનો ખુદનો કારોબાર ચાલુ કરે તો તેની નવાઈ નહીં લાગે.
આટલું બધું હું કપિલ વિષે ક્યાંથી જાણું જ્યારે તે મને સ્વાતિ સાથે સંબંધ ન રાખવા કહ્યું હતું? પણ મને મારી દીકરીની ચિંતા ન હોય? તેથી હું મારી રીતે તપાસ કરતો હતો ત્યારે મને જાણ થઇ કે મારા કોલેજકાળનો એક મિત્ર કપિલની જ કંપનીમાં કામ કરે છે. મને તેની મૈત્રી કામ આવી અને મને જોઈતી માહિતી મળતી રહી. તેની કાબેલિયત જોઇને તેણે જ મને કહ્યું હતું કે કપિલનું ભવિષ્ય ન કેવળ તે કંપનીમાં પણ અન્ય ક્ષેત્રમાં પણ ઉજ્જવળ છે.
આજસુધી આ બાબતમાં મેં કેમ તને અંધારામાં રાખી એમ કદાચ તારા મનમાં પ્રશ્ન ઉઠે. પણ જે રીતે તારી ગ્રંથિઓએ તારા વિચારોને સ્થગિત કરી દીધા હોય ત્યારે તને કપિલ વિષે કોઈ વાત કરવાનો અર્થ ખરો? હતું કે જે દિવસે તું તેના તરફનો તારો અણગમો દૂર કરશે ત્યારે આ બધું જણાવીશ પણ તેવો કોઈ મોકો જ ન મળ્યો.
સ્વાતિને તેના સાસરે જે માનપાન મળે છે કદાચ તેની તને જાણ નહીં જ હોય. કારણ તે જાણવાનો તે પ્રયત્ન જ નથી કર્યો. અહી પણ તારી સ્વાતિ માટેની માનસિક સંકુચિતતા આડે આવતી હશે એમ માનું છું. જ્યારે આપણે ધારીએ તેમ ન થાય ત્યારે આપણને તેનો સંતાપ થાય જ પણ એક સમજદાર વ્યક્તિ તરીકે તેનું નિરાકરણ કરીને માર્ગ કાઢીએ તો તે આપણને માનસિક પરિતાપમાંથી ઉગારી શકે છે. એક મા તરીકે મોટું મન રાખી શકાય તેવી અપેક્ષા તારી દીકરી રાખે તેમાં કોઈ નવાઈ છે? તારે પણ તારી સંકુચિતતાના કોશેટામાંથી બહાર આવી પરિસ્થિતિને સંભાળી લેવી જોઈએ તે હવે નથી લાગતું? મારા હિસાબે તો આટલા સમય બાદ તારૂં મન કુણું પડવું જોઈએ. પણ તું તારા વિચારોને હજી પણ પ્રગટ કરતી નથી પણ મને ખાત્રી છે કે તારા મનમાં તો એક મા તરીકે સ્વાતિ માટેના વિચારો જરૂર આવતા હશે. જો તેમ હોય તો હવે તે પ્રગટ કરીશ?
યાદ છે જ્યારે સ્વાતિએ પોતાના મનની વાત આપણને કરી અને કપિલ સાથે લગ્ન કરવાની મંજૂરી માંગી ત્યારે ભલે તે ઘસીને ના પાડી હતી પણ તને ખાત્રી હતી કે તે તેનું ધાર્યું કર્યા વગર નહીં રહે કારણ તેનામાં પણ તારા જેવી ખુદ્દારી છે. ભલે તે તેની સાથે તે વખતે તારા સંબંધ તોડી નાખ્યા હતાં પણ સ્વાતિએ જ મને કહ્યું હતું કે મારે તારી ઉપર આ સંબંધ સાંધવા કોઈ દબાણ ન કરવું, કારણ તે જાણતી હતી કે સમય સમયનું કામ કરશે અને એક દિવસ તું તેને ફરી અપનાવી લેશે.
દરેક દીકરી ભલે સાસરે સુખી જણાતી હોય તો પણ એવી કેટલીક વાતો હોય છે જે એક દીકરી મા આગળ જ ખુલ્લા મને કરી શકે છે. આજ સુધી તારા વર્તનને કારણે તે આ બાબતથી વંચિત છે તેની તને સમજ હશે જ. જો તે પોતાની વ્યથામાં તેની માને ભાગીદાર ન કરી શકે તો બીજું કોણ છે જેની આગળ તે વ્યક્ત કરે? મારી આગળ તો નહીં જ તે તું પણ સમજી શકે છે.
આટલું જાણ્યા બાદ પણ હજી તારી માનસિક તૈયારી ન હોય તો હવે પછીની વાત જાણી મને ખાતરી છે કે તું ગઈ ગુજરી ભૂલી જશે. મારા અન્ય સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે તું નાની બનવાની છે. આવે સમયે જો મા દીકરીની પડખે ન હોય તો દીકરીની માનસિક સ્થિતિ કેવી થઇ જશે તે તું સારી રીતે સમજી શકે છે. આમેય તે બાળકો તને પ્રિય છે તો આવનાર વ્યાજને તું કેમ અળગું રાખી શકીશ?
એક વાત યાદ કરાવું? હમણાં થોડા સમય પહેલા તારા ભાઈને ત્યાં પણ આવી જ સમસ્યા ઉત્પન્ન થઇ હતી. તેમની દીકરી સંગીતાના સંદર્ભમાં. ભાઈ તો તૈયાર હતાં જ પણ તારા ભાભીએ સમય પારખી તેના નિર્ણયને દિલથી આવકાર્યો હતો ને? આ પછી મને લાગ્યું કે હવે તારૂં મન પણ થોડું નરમ પડ્યું હશે માની રૂબરૂમાં વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ મારી માન્યતા ખોટી નીવડી. હવે કોઈ ચર્ચાનો અવકાશ નથી એટલે આ પત્ર દ્વારા બધું જણાવ્યું છે. વિગતો વાંચીને શાંતિથી વિચાર કરજે. ભલે અત્યારે તું તારી સ્વાતિ પ્રત્યેની લાગણીને બહાર લાવી નથી શકતી પણ જાગ્યા ત્યારથી સવાર માની તું જ જો પહેલ કરી સ્વાતિને ફોન કરશે તો ન કેવળ સ્વાતિને પણ મને પણ તેનો આનંદ થવાનો તેમાં બે મત નથી. હા, હજી કપિલને મળવા માટે તું કદાચ અચકાય તે પણ સમજાય એવું છે. ભલે, તેને માટે થોડો સમય રાહ જોઈશું પણ અંતે તેને પણ તું માફ કરીને મળશે એમ હું માનું છું.
તો હવે નવી દિશામાં ડગ માંડજે, સ્વાતિને ફોન કરીને.
તારો જીવનસંગી
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
અનોખું બંધન
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
“હોસ્પિટલમાં છું, ચિંતાનું કોઈ કારણ નથી પણ, પત્રને તાર સમજીને તરત આવી જાવ.”- રમા.
દર વર્ષની જેમ આ વર્ષે રમા રક્ષાબંધન કરવા એના ભાઈના ઘરે જવા નીકળી હતી. બે દિવસ પછી રેડિયો અને અખબારમાં પ્રસરિત થતા સમાચાર પરથી સંતોષને જાણ થઈ કે કુંવારી નદીમાં ભીષણ પૂર આવવાથી જાનમાલને ખૂબ નુકશાન પહોંચ્યું છે જેનો સત્તાવાર આંકડો આપવો મુશ્કેલ છે.
ક્યાં હશે? અરે જીવિત હશે કે કેમ એ શંકાકુશંકામાં આખો એક મહિનો પસાર થવા આવ્યો ત્યારે ઓચિંતો રમાનો પત્ર મળતા અચંબાથી સંતોષ પત્ર સામે તાકી રહ્યો ને પછી તો લગભગ પચ્ચીસ વાર એ પત્ર વાંચી ગયો. એને વિશ્વાસ નહોતો આવતો કે રમા જીવે છે અને એ હવે એની રમાને મળશે.
રમાના સમાચાર જાણવા સંતોષે કેટલાય તાર કર્યા હતા, પણ રમાના ભાઈ તરફથી ક્યાંય સુધી એનો કોઈ પ્રત્યુત્તર સાંપડ્યો નહોતો.
અંતે એક દિવસ ભાઈનો પત્ર આવ્યો. એના પરથી એટલું સમજાયું કે જ્યારે પૂર આવ્યું એ દિવસે રમા એની કોઈ સહેલીને મળવા ગઈ હતી. રાત્રે પૂરનાં પાણી ચારેકોર તારાજી સર્જી રહ્યાં હતાં. સૌ કોઈ એ સમયે માલસામાનની ચિંતા કર્યા વગર જીવ બચાવાવાની મથામણમાં પડ્યાં હતાં. બે દિવસ પછી પૂર ઓસરતાં રમાના ભાઈએ રમાની તપાસ આદરી હતી. કોઈ ભાળ મળી નહીં એટલે રમા પાછી ઘેર પહોંચી ગઈ હશે એમ માની લીધું.
ત્યારથી સંતોષે પણ પોતાની રીતે રમાની તપાસ આદરી. કુંવારી નદીના પટ સુધી એ જઈ આવ્યો. ત્યાં તૂટેલો પુલ અને બચેલા અવશેષ જોઈને એ મનથી સાવ તૂટી ગયો. સરકારી કચેરીમાંથી પણ કોઈ જાણકારી ન મળતાં રમા જીવતી હશે કે કેમ એ વિચારે મન આશંકાથી ઘેરાઈ ગયું હતું તેમ છતાં એણે આશા છોડી નહોતી.
આજે રમાનો પત્ર મળતાં એની આશા ફળીભૂત થઈ. હવે એક ક્ષણ એ રાહ જોવા તૈયાર નહોતો. રમાને જોવા એનું મન એટલું તો અધીર થઈ ગયું કે દક્ષિણ એક્સપ્રેસ જેવી ફાસ્ટ ટ્રેનની ગતિ પણ એને લોકલ ટ્રેન જેવી ધીમી લાગી.
ગ્વાલિયર પહોંચતા રાત પડી ગઈ. હોસ્પિટલમાં રાત્રે અગિયાર વાગ્યે પ્રવેશ મળવો મુશ્કેલ હતો એટલે રમાને મળવા સવાર સુધી રાહ જોયા વગર કોઈ છૂટકો નહોતો. હોસ્પિટલની સામેના મુસાફરખાનાની બેંચ પર એણે લંબાવ્યું. કેટલાય સમયથી એની આંખ અને ઊંઘની દોસ્તી છૂટી ગઈ હતી. આજ સુધી ઊંઘ ન આવવાનું કારણ રમા હતી અને આજે પણ રમા જ હતી, પણ બંને સ્થિતિમાં આભ-જમીનનું અંતર હતું.
સવાર પડતાં હોસ્પિટલમાં રમાને જોવા એ અધીરો બન્યો. ઇન્ક્વારી કાઉન્ટર પર કેટલાય સવાલોના જવાબો આપ્યા પછી એને રમાને મળવાની અનુમતિ મળી. કાઉન્ટરથી રમા સુધી પહોંચવાનો કૉરિડૉર વટાવતા એના મનમાં એક અજબ કલ્પના ફરી સળવળી. લગ્નના થોડા સમય પછી એણે કેટલીય વાર એવી કલ્પના કરી હતી કે,
‘હોસ્પિટલના કૉરિડૉરમાં એ બેચેનીથી આંટા મારી રહ્યો છે. અંદર રમા વેદનાથી પીડાઈ રહી છે અને થોડી વારમાં અંદરથી નર્સ આવીને કહે છે કે, “મિસ્ટર સંતોષ અભિનંદન…”
વર્ષોના વર્ષો આ સાંભળવા એના કાન તલપાપડ થતાં રહ્યા. ધીમેધીમે એ આશા ઉત્કંઠામાં અને પછી નિરાશામાં પલટાઈ.
અંતે સંતોષે નિયતીનો આદેશ માનીને હકિકતનો સ્વીકાર કરી લીધો, પણ રમા સ્વીકારી નહોતી શકી. આસપાસના પડોશીઓથી માંડીને સંબંધીના વણપૂ્છાયેલા સવાલોનો એ સામનો કરી શકતી નહોતી. હારીને રમાએ કોઈ બાળક દત્તક લેવા સુધીની તૈયારી દર્શાવી હતી. સંતોષ એ માટે જરાય તૈયાર નહોતો. કોણ જાણે કોનું બાળક, કેવું બાળક, ના એ તો શક્ય જ નથી.
કૉરિડૉર વટાવીને એ રમાના વૉર્ડ સુધી પહોંચ્યો. સાવ નિસ્તેજ ચહેરે રમા ઊંઘતી હતી. સંતોષને એની પર વહાલ ઊભરાઈ આવ્યું. એને ઊંઘતી જ જોયા કરી. ધીમેથી ત્યાં મુકેલું નાનકડું ટેબલ ખેંચીને બેસવા ગયો અને રમાની ઊંઘ તૂટી.
આંખ મળતાં અગણિત શબ્દહીન સવાલોની સાથે કંઈ કેટલીય લાગણીઓની ઝડી વરસી. ત્યાં ખભા સુધી ચાદર ખેંચીને સૂતેલી રમાની બાજુમાં જાણે વાળના ગુચ્છા જેવું કંઈક હલતું સંતોષને દેખાયું. સંતોષને થયું કે આ માત્ર એનો ભ્રમ હોઈ શકે. કેટલાય વર્ષો સુધી કરેલી કલ્પના સાકાર થયાનો ભાસ હોઈ શકે, પણ ના એ કોઈ કલ્પના નહોતી.
એ ગુચ્છાદાર વાળવાળી એક છોકરીએ ચાદરમાંથી બેઠા થઈને રમાને કાલી ભાષામાં કંઈક કહ્યું. રમાએ ઊઠીને એ બાલિકાને પાણી આપ્યું.
“કોણ છે આ?” સંતોષથી પૂછાઈ ગયું.
“કોને ખબર, પણ પૂરથી બચવાની ભાગદોડમાં મારી સાથે એક દંપતિ અને એમની આ બાળકી હતાં. દંપતિએ તો પૂરમાં જળ સમાધિ લઈ લીધી અને બચી આ બાળકી. એ દિવસથી મારી પાસે છે. સોનુ, હવે તો આ બાળકી માટે તમે મને ના નહીં પાડો ને? ઈશ્વરે જ એને મારી ગોદમાં મૂકી છે. એ વાતનો અનાદર નહીં કરો ને?”
“હું ડૉક્ટરને મળીને ક્યારે રજા આપશે એ જાણીને આવું.”
બીજું કશું જ બોલ્યા વગર સંતોષ બહાર આવ્યો. રમાના સવાલથી પંખાની હવા વચ્ચે પણ એને જાણે અકળામણ થતી હોય એમ પરસેવે નાહી રહ્યો.
રમાના ડિસ્ચાર્જ સાથે પેલી બાળકી માટે શું નિર્ણય કર્યો એવા ડૉક્ટરના સવાલથી સંતોષ વધુ અકળાઈ ઊઠ્યો.
“You can’t force me Doctor.”
“Of course not. પણ તમારી પત્નીના સ્વાસ્થ્ય માટે થઈને મારી સલાહ છે કે એ અંગે મના ના કરતા. કદાચ તમારી નામરજીના ડરથી જ તમારી પત્નીએ તમને જાણ કરી નહોતી.” ડૉક્ટરે શાંતિથી કહ્યું.
સંતોષે કોઈ જવાબ ના આપ્યો. એને એવું લાગી રહ્યું હતું કે જાણે એને કોઈ મોટા ષડયંત્રનો હાથો બનાવવામાં આવી રહ્યો છે.
ત્રીજા દિવસે જ્યારે સંતોષ રમાને લઈને નીકળ્યો ત્યારે એ બાળકી સાથે હતી. નર્સે એના વાળ સરસ રીતે કાપી આપ્યા. ડૉક્ટરે આપેલું ફ્રોક, હોસ્પિટલના સ્ટાફે આપેલી કેટલીય ભેટ એ બાળકી પ્રત્યેનો પ્રેમ દર્શાવતી હતી. સંતોષ સાવ તટસ્થતાથી આ બધું જોઈ રહ્યો હતો. રમા ખૂબ ખુશ હતી. હર્ષોલ્લાસથી એની બીમારી સુદ્ધાં એ ભૂલી ગઈ હતી.
આખા રસ્તે એ બાળકીને રમાડવામાં વ્યસ્ત રહી. બાળકીએ પાપા કહીને સંતોષને બોલાવવા પ્રયત્ન કર્યો પણ સંતોષ મ્હોં ચઢાવીને ટ્રેનની બારીની બહાર જોતો રહ્યો.
ઘર સુધી પહોંચતામાં રાત પડી ગઈ હતી. આસપાસના પડોશીઓના સવાલોના જવાબ નહીં આપવા પડે એ વિચારે સંતોષને શાંતિ થઈ.
રમાએ એની અને સંતોષની વચ્ચેની જગ્યાએ બાળકીને સૂવડાવી. આ આખી પ્રક્રિયા સંતોષે સાવ અલિપ્ત રહીને જોયા કરી. સંતોષના આવા વર્તનથી દુભાયેલી, બીમારીની અસરના લીધે કમજોર અને થાકેલી રમા પલંગના બીજા છેડા પર જઈને સૂઈ ગઈ.
સોનેરી વાળ, કુમળી પાંદડી જેવા હોઠ પર ફેલાયેલું સ્મિત અને ચહેરા પરની નિર્દોષતા સામે અપલક જોઈ રહેલા સંતોષે ખસી ગયેલી ચાદર હળવેથી ખેંચીને બાળકીના નાના હાથ અને પગ પર ઓઢાડી દીધી. ઊંઘમાં જ સળવળતી બાળકીને ધીમે ધીમે થપથપાવવા માંડી. એ બાળકીના રેશમી સ્પર્શથી સંતોષના મન-હૃદયે અજબ સ્પંદનનો અનુભવ કર્યો.
સવાર પડતાં રમાની આંખ ખૂલી. સંતોષના પડખામાં એ બાળકીને સૂતેલી જોઈને સાવ અકલ્પનીય દૃશ્યથી એ રોમંચિત થઈ ઊઠી. બાળકીના નાના હાથ સંતોષના ગળે વીંટળાયેલા હતા અને સંતોષના મજબૂત હાથ બાળકીની પીઠ પર મમતાથી લપેટાયેલા હતા.
રમા આ અતિ વહાલું લાગતું દૃશ્ય જોઈને સંતોષપૂર્વક જરા પણ અવાજ ન થાય એમ બહાર નીકળી ગઈ.
માલતી જોશી લિખિત વાર્તા ‘નયે બંધ’ પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
અમર (૧૯૫૪)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
ફિલ્મનો નાયક નકારાત્મક ભૂમિકા કરે એ પ્રમાણ જૂજ હતું. એવું સાવ નહોતું એમ નહીં. એ સમયે મહેબૂબ ખાન નિર્મિત-દિગ્દર્શીત ‘અમર’માં દિલીપકુમારે કંઈક એ પ્રકારની કહી શકાય એવી ભૂમિકા ભજવેલી. અલબત્ત, એ સાવેસાવ નકારાત્મક એટલે કે ખલનાયક પ્રકારની નહોતી. ૧૯૫૪માં રજૂઆત પામેલી ‘મહેબૂબ પ્રોડક્શન્સ’ની અમર એટલે ગીતકાર શકીલ બદાયૂંની અને સંગીતકાર નૌશાદનાં ગીતોની રસલ્હાણ. મહેબૂબ ખાને ‘અમર’ અગાઉ ‘અંદાઝ’ અને ‘આન’માં દિલીપકુમારને દિગ્દર્શીત કર્યા હતા. આ બન્ને ફિલ્મો પણ મ્યુઝીકલ હીટ હતી.
મહેમદાવાદમાં અમારા ઘરની બિલકુલ સામે એક ડૉક્ટરનું મકાન હતું. આજે પણ એ છે. એ ડૉક્ટરને ત્યાં એ સમયે ડેક અને એમ્પ્લિફાયર સાથેનું ટેપરેકોર્ડર હતું, જેમાં તે લગભગ આખો દિવસ ગીતો વગાડતા રહેતા. અવાજ ઘણો મોટો રાખતા એટલે રસ્તે જતા સૌ કોઈને એમ અમને સૌને પણ એ સંભળાતાં. તેઓ ખાસ કરીને જૂની ફિલ્મનાં ગીતોનાં શોખીન એટલે અમુક ગીતો એમને ત્યાંથી અમારા કાને સતત પડતાં રહે. આથી ઘણાં ગીતોથી અમે એ રીતે પરિચીત થઈ ગયેલા, પણ એમાંના મોટા ભાગનાંની ફિલ્મનું નામ ખબર નહીં.

એ પછીના અરસામાં અમે રેકોર્ડપ્લેયર વસાવ્યું. ધીમે ધીમે, પૈસાની જોગવાઈ હોય એ મુજબ રેકોર્ડ ખરીદતા ગયા. એ ક્રમમાં એક વાર ઉર્વીશ મુંબઈથી ‘અમર’ની એલ.પી.રેકોર્ડ લઈ આવ્યો. એ રેકોર્ડ ચડાવી અને એક પછી એક ગીત શરૂ થયાં. પ્રત્યેક ગીત અમને સુખદ આંચકો આપતું ગયું. અમારા મોંમાંથી લગભગ એકસરખા ઉદ્ગાર નીકળતા: ‘અરે! આ પણ ‘અમર’નું છે!’ કારણ એ કે એ તમામ ગીતો અમારા કાને ડૉક્ટરના ટેપરેકોર્ડર દ્વારા પડી ચૂકેલા અને અમે એનાથી ઘણા પરિચીત થઈ ગયેલા, પણ એ તમામ ગીત એક જ ફિલ્મનાં છે એ તો રેકોર્ડ પર સાંભળ્યાં ત્યારે જ ખબર પડી.
દિલીપકુમાર, મધુબાલા, નિમ્મી, જયંત જેવા મુખ્ય કલાકારોને ચમકાવતી ‘અમર’નાં કુલ દસ ગીતો હતાં. નવાઈ લાગે એવી વાત એ છે કે એક સિવાયનાં તમામ ગીતો નાયિકાના મુખે ગવાયેલાં હતાં. જે એક ગીત પુરુષસ્વરમાં હતું એ પણ પાર્શ્વગાન તરીકે.

(ડાબેથી: નૌશાદ, મ.રફી અને શકીલ) બાકીનાં નવ ગીતો પૈકી બે ગીત આશા ભોસલે દ્વારા ગવાયાં હતાં અને સાત ગીત લતા મંગેશકર દ્વારા. આશા ભોસલે દ્વારા ગવાયેલાં બે ગીત હતાં ‘ઈક બાત કહૂં મેરે પિયા સુન લે અગર તૂ’ અને ‘રાધા કે પ્યારે કૃષ્ણકન્હાઈ’. લતા દ્વારા ગવાયેલાં ગીતોમાં ‘ઉદી ઉદી છાઈ ઘટા’, ‘ઉમંગોં કો સખી પી કી નગરિયા’, ‘તેરે સદકે બલમ ન કર કોઈ ગમ’, ‘ન મિલતા ગમ તો બરબાદી કે અફસાને કહાં જાતે’, ‘ન શિકવા હૈ કોઈ, ન કોઈ ગિલા હૈ’, ‘જાનેવાલે સે મુલાકાત ના હોને પાઈ’ અને ‘ખામોશ હૈ ખેવનહાર મેરા’. એક સાંભળીએ ને એક ભૂલીએ એવાં ગીતો!
પુરુષગાયકના સ્વરમાં ગવાયેલું એક માત્ર ગીત એટલે ‘ઈન્સાફ કા મંદીર હૈ યે ભગવાન કા ઘર હૈ’. આ ગીતને ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે મૂકવામાં આવ્યું હતું, જે ફિલ્મની વાર્તાના મધ્યવર્તી વિચારને રજૂ કરે છે. ફિલ્મનો આરંભ જેમ આ ગીતથી થાય છે એમ તેનો અંત પણ આ જ ગીતથી આવે છે. મહંમદ રફીએ ગાયેલા આ ગીતમાં તેમના સ્વરની બુલંદી ગજબની નીખરી છે. એકદમ તીવ્ર સપ્તકમાં તેઓ પોતાનો સ્વર લઈ જાય છે, છતાં તેમનું માધુર્ય જળવાઈ રહે છે. ગીત ફિલ્મમાં ચાર તબક્કે આવે છે. અને ચારે વાર તેમાં વાર્તાની પરિસ્થિતિ અનુસારના શબ્દો છે. ટાઈટલ દરમિયાન એક હિસ્સો, બે ભાગ વચ્ચે અને અંત ભાગે ચોથો હિસ્સો.
આ ગીતમાં તંતુવાદ્યસમૂહ તેમજ શરણાઈનો અસરકારક ઊપયોગ છે. આ ઉપરાંત વચ્ચે વચ્ચે આવતા ઘંટના રણકાર જુદી જ અસર ઊભી કરે છે.
અહીં એ ગીત આખું મૂક્યું છે. શકીલ બદાયૂંનીએ લખેલા અને નૌશાદે સ્વરબદ્ધ કરેલા આ ગીતના શબ્દો નીચે મુજબ છે:
इन्साफ का मंदिर है ये…
भगवान का घर है…
इन्साफ का मंदिर है ये, भगवान का घर है
कहना है जो कह दे, तुझे किस बात का डर है
है खोट तेरे मन में, जो भगवान से है दूर
है पाँव तेरे फिर भी तू आने से है मजबूरઆ પંક્તિ પર ટાઈટલ્સનું સમાપન થાય છે અને ફિલ્મની કથા આરંભાય છે.
ફિલ્મની વચ્ચેના ભાગમાં ફરી એક વાર મુખડું વાગે છે અને ગીતની ધૂન પણ.
इन्साफ का मंदिर है ये, भगवान का घर है
कहना है जो कह दे, तुझे किस बात का डर है
है खोट तेरे मन में, जो भगवान से है दूर
है पाँव तेरे फिर भी तू आने से है मजबूर
हिम्मत है तो आजा, ये भलाई की डगर है
इन्साफ का मंदिर है…दुःख दे के जो दुखिया से ना इन्साफ करेगा
भगवान भी उसको ना कभी माफ़ करेगा
ये सोच ले…
ये सोच ले…
ये सोच ले हर बात की दाता को खबर है
हिम्मत है तो आजा, ये भलाई की डगर है
इन्साफ का मंदिर है…આ ચોથો હિસ્સો ફિલ્મના અંત ભાગે છે.
है पास तेरे जिसकी अमानत उसे दे दे
निर्धन भी है इंसान, मोहब्बत उसे दे दे
जिस दर पे सभी एक हैं बन्दे, ये वो दर है
इन्साफ का मंदिर है…मायूस ना हो, हार के तक़दीर की बाज़ी
प्यारा है वो गम, जिसमें हो भगवान भी राज़ी
दुःख दर्द मिले जिसमें, वही प्यार अमर है
ये सोच ले हर बात की दाता को खबर है
इन्साफ का मंदिर है…ફિલ્મમાં ટુકડેટુકડે આવતા આ ગીતના તમામ હિસ્સા આ ક્લીપમાં સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ફિલ્મી ગઝલો – ૫૧. શમ્સ લખનવી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
સૂર્ય માટે ઉર્દુમાં પર્યાયવાચી શબ્દો છે આફતાબ, ખુરશીદ અને શમ્સ.
આજે વાત કરીએ ગીતકાર શમ્સ લખનવીની. લખનવીઓમાં આરઝૂ લખનવી અને નૂર લખનવીની વાત આપણે કરી ગયા. શમ્સ સાહેબે પણ ગીતો કરતા ફિલ્મોની વાર્તા, કથા – પટકથા લેખનમાં વધુ કાઠું કાઢેલું. વ્હી. શાંતારામની પરછાંઈ, દહેજ અને સહેરા ઉપરાંત મહેબુબ ખાનની અંદાઝ તેમજ દુલારી, ઝાંસી કી રાની અને નૌશેરવાને આદિલ જેવી ફિલ્મો એમણે લખેલી.સોએક ફિલ્મી ગીતો પણ એમનું પ્રદાન. એમણે ગીતો લખ્યા એવી કેટલીક ફિલ્મો એટલે દોસ્ત, શીશ મહેલ, લાલ હવેલી, ઈસ્મત, સમ્રાટ અશોક, મઝધાર, શમા, દિલ, નૌકર, હીરા, બોલતી બુલબુલ, બેડા પાર અને વિશ્વાસ વગેરે.
તેમની લખેલી બે ગઝલો :
દિલ લગાને મેં કુછ મઝા હી નહીં
ઇસ ઝમાને મેં જબ વફા હી નહીંદિલજલોં કા વો હાલ ક્યા જાને
જિસકા દિલ ખુદ કભી જલા હી નહીંફસ્લે ગુલ આઈ ભી ચલી ભી ગઈ
ગુંચા એ આરઝુ ખિલા હી નહીં..ફિલ્મ: શહેનશાહ બાબર ૧૯૪૪
– ખુરશીદ
-ખેમચંદ પ્રકાશ
દો દિન બહાર ફૂલ તો દિખલા કે રહ ગયે
જલતી હુઈ હવાઓ મેં કુમ્હલા કે રહ ગયેવો ઐસે ખુશનસીબ નઈ ઝિંદગી મિલી
હમ ઐસે બદનસીબ – ઉન્હે પા કે રહ ગએજો દિલ કી હસરતેં થીં વો દિલ હી મે રહ ગઈ
મંઝિલ કે હમ કરીબ ગએ – જા કે રહ ગએગુંદી હે હમને પ્રેમ કે સહરે કી હર લડી
આંસુ હમારી આંખ મેં આ – આ કે રહ ગએ..– ફિલ્મ: દહેજ 1950
– જયશ્રી
– વસંત દેસાઈ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
