-
રિઝાવા, ખિજાવા, ભસવા અને કરડવાની અથશ્રી : શ્વાન કથા
નિસબત
ચંદુ મહેરિયા
પત્રકારત્વના વિધ્યાર્થીઓને સમાચાર કોને કહેવાય તે શિખવતાં કહેવામાં આવે છે કે કૂતરું માણસને કરડે તે સમાચાર નથી પણ માણસ કૂતરાને કરડે તે સમાચાર છે. કૂતરું માણસને કરડે તે સાવ નાની અમથી કે સમાચારમૂલ્યવગરની ઘટના હશે ત્યારે સમાચાર વિશેની આ સમજ કદાચ સાચી હશે. પરંતુ આજે તો કૂતરાં કરડવાથી, ખાસ તો શહેરી વિસ્તારોમાં , લોકો એટલા ત્રાહિમામ છે કે કોઈ અખબાર તેના રિપોર્ટરને કૂતરાં અને ગાયના ત્રાસ અંગેના સમાચારની બીટ ફાળવે તો હવે નવાઈ નહીં.
કૂતરું માનવીનું વફાદાર અને રક્ષક સાથી છે. તેનો માલિક અને તેના પરિવાર સાથે ભાવનાત્મક સંબંધ રચાય છે. તાલીમથી તે વધુ સજ્જ બને છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં ૬.૨ કરોડ રખડતા શેરી કૂતરાં છે તો ૩.૧૦ કરોડ પાળેલા કૂતરાં છે. એકલા અમદાવાદ શહેરમાં આશરે પોણા ચાર લાખ આવારા કૂતરાં છે. એટલે કે પચાસ અમદાવાદીએ એક કૂતરું છે. આમ તો માનવી અને કૂતરાંનું સહઅસ્તિત્વ વરસો પૂરાણુ છે પરંતુ હમણાં હમણાંથી તેમની વચ્ચે અંતર વધ્યું છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી તે રીઝે તો ય અને ખીજે તો ય, શ્વાનની સોબત માનવી માટે દુ:ખદાયી છે. તેના ઘણા અજીબ કિસ્સા બને છે. ૨૦૧૫માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનો પાલતુ શ્વાન તેમના પત્ની શર્મિલા ઠાકરેને કરડ્યો હતો. કહે છે કે તેમનો પગ થોડો ડોગીના શરીર પર આવી ગયો એટલે તે ખિજાયો અને શર્મિલા મેડમના ચહેરા પર બચકા ભર્યાં. કૂતરાંના દાંતે ચહેરાના હાંડકાંને એવું તો કરડી ખાધું હતું કે પાંસઠ ટાંકા લેવા પડ્યા અને પછી પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી.
અમેરિકી પ્રેસિડન્ટ જો બાઈડનના જર્મન શેફર્ડ પ્રજાતિના બે પેટ ડોગ્સ મેજર અને કમાન્ડરે વ્હાઈટ હાઉસના સ્ટાફ અને સિક્રેટ સર્વિસના લોકો પર ડઝનબંધ હુમલા કર્યા પછી તેમને વ્હાઈટ હાઉસમાંથી તગેડી મૂકવા પડ્યા છે. હમણાં ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપ્રમુખ માલ્દોવનાની સત્તાવાર મુલાકાતે હતા તે દરમિયાન પ્રેસિડેન્ટ ભવનમાં ફરી રહ્યા હતા ત્યારે માલ્દોવનાના રાષ્ટ્રપ્રમુખના પાંચેક પેટ ડોગ્સ બાંધેલા જોઈને ઓસ્ટ્રિયન પ્રમુખ તેમને વહાલ કરવા લાગ્યા તો એક ડોગીએ તેમને બચકુ ભર્યું. આ ઘટનાથી યજમાન દેશના પ્રમુખ બહુ મુંઝાઈ ગયા તેમણે વારંવાર માફી માંગી અને વધુ ભીડ જોઈને કૂતરું કરડ્યાનો ખુલાસો કર્યો. અમેરિકન બુલી પ્રજાતિના ડોગ્સના હુમલાથી બ્રિટનનમાં ચૌદ લોકોના મોત થયા પછી વડાપ્રધાન ઋષિ સુનકે આ નસલના કૂતરાં પર એક વરસ માટે પ્રતિબંધ મૂક્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમના માતા સોનિયા ગાંધીએ એક પેપ ગિફ્ટ કર્યું .રાહુલે તેનું નામ નૂરી રાખ્યું એટલે મુસ્લિમ નેતાઓને તે મુસ્લિમ દીકરીઓનું અપમાન લાગ્યું.૨૦૨૩ના અંતિમ મહિને ૫૭ ટકા જેટલી ભારે બહુમતીથી પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા ઓસ્ટ્રિયાના વર્તમાન પ્રમુખે તેમનો વિજ્ય તેમના પાળેલા કૂતરાઓને અર્પણ કર્યો હતો. કટ્ટર જમણેરી અને અરાજક મૂડીવાદી તરીકે જાણીતા આ રાષ્ટ્રપ્રમુખે સોંગદવિધિથી પરત ફરતાં રસ્તામાં તેમનો કાફલો એક ડોગીને જોઈને થોભાવી દીધો હતો અને તેને રમાડવા લાગ્યા હતા.
પાળેલાની જેમ રખડતા કૂતરાં કરડવાના અને હુમલાના પણ અજાયબ બનાવો બને છે. ગયા વરસના નવેમ્બરમાં કચ્છના એક ગામે હડકાયું કૂતરું ભેંસની પાડીને કરડ્યું. પાડીને હડકવાની અસર થઈ તે દરમિયાન તેણે ભેંસ માતાનું દૂધ પીધું . ભેંસના માલિકે ભેંસનું દૂધ ગામમાં સવાસો ઉપરાંત લોકોને વેચ્યું હતું.એટલે તે સૌને પણ હડકવાની અસર થવાની ભીતિ ઉભી થતાં સૌને રસી મૂકાવવી પડી હતી. બાળકો, વૃધ્ધો, શારીરિક રીતે કમજોર વ્યક્તિઓ અને મહિલાઓ શેરીશ્વાનના હુમલાઓનો સવિશેષ ભોગ બને છે .ઘણાના મૃત્યુ પણ થયા છે. પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરના શેરી ડાઘિયાઓએ તો એક વાનરને ફાડી ખાધો હતો.
ભારતમાં વરસે કૂતરા કરડવાના લગભગ પોણા બે કરોડ બનાવો બને છે. આ આંકડામાં નોંધાયેલા અને વણનોંધાયેલા બનાવોનો સમાવેશ થાય છે. લોકસભા પ્રશ્નના જવાબમાં ૨૦૨૦ થી ૨૦૨૨ના ત્રણ વરસોમાં દેશમાં કુલ ૮૫.૧૪ લાખ કૂતરા કરડવાના બનાવો સરકારી ચોપડે નોંધાયા હોવાનું જણાવાયું છે. આ ગાળામાં ગુજરાતમાં ૭.૯૩ લાખ કેસો બન્યા હતા. એ હિસાબે દેશમાં રોજના પોણા આઠ હજાર અને ગુજરાતમાં સવા સાતસો લોકોને કૂતરાં કરડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે ભારતમાં હડકવાને કારણે દરા વરસે ૨૦,૦૦૦ લોકોના મોત થાય છે. હડકવાને લીધે સમગ્ર વિશ્વમાં થતાં મોતમાં ભારતનો હિસ્સો એક તૃતીયાંશ છે. વળી ભારતમાં હડકવાથી થતાં મોતના કુલ કિસ્સામાં અડધા કરતાં વધુ મોત પંદર વરસથી નીચેની ઉંમરના બાળકોનાં હોય છે.
અનુભવીઓ અને નિષ્ણાતોના મતે કૂતરાંઓના આક્રમક બનવાના, લોકો પર હુમલા કરવાના અને કરડવાના કારણોમાં – મોસમમાં બદલાવ, હોર્મોન્સમાં ફેરફાર, ગલુડિયાના જન્મ સમયે માદા શ્વાન તેના રક્ષણ માટે વધુ સજાગ, લોકો દ્વારા કૂતરાંની પજવણી,ઉશ્કેરણી કે માર મારવો, કૂતરાંના ખોરાકમાં થયેલો ફેરફાર, મેટિંગ સિઝન હોવી, ટીનેજરો દ્વારા તેને છંછેડવા- નો સમાવેશ થાય છે. આ કારણો ઘટી શકે કે દૂર થઈ શકે તો કૂતરાનો ત્રાસ ઘટાડી કે દૂર કરી શકાય અને માનવી સાથેનું તેનું સહઅસ્તિત્વ બની રહે.
ભારતની પેટ ડોગ ઈકોનોમીનું કદ આ દાયકાના અંતે ૨૨,૦૦૦ કરોડનું થવાની સંભાવના હોય , મહાનગર મુંબઈમાં પેટ ડોગના ટ્રેનરનો કલાકનો ચાર્જ મ્યુઝીક ટીચર કરતાં બે ગણો હોય ત્યારે શું પાળેલા કે શું રખડતાં- તમામ કૂતરાં વિશે સરકાર અને સમાજે ગંભીર બનવું પડશે. કૂતરાંને પકડીને દૂર મૂકી આવવાથી તેની સંખ્યા ઘટતી નથી કે તેને મારી નંખાતા નથી. તેથી તેની વસ્તી નિયંત્રિત કરવા માટે ખસીકરણ એક ઉપાય છે. તેનાથી કૂતરાંની વસ્તી ઘટી છે પણ તે કરડવાના બનાવો ઘટ્યા નથી. એન્ટી રેબિક્સ વેક્સિન અને ખસીકરણ માટે અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા ત્રણ વરસોમાં ૯.૧૯ કરોડનો ખર્ચ કર્યો હતો. પરંતુ ધાર્યું પરિણામ મળ્યું નથી.
હવે તો કૂતરાંનો ત્રાસ ન્યાયની દેવડીએ પહોંચ્યો છે અને દેશની સર્વોચ્ચ અદાલત સુધી ગયો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રખડતાં કૂતરાના હુમલાનું નાણાકીય વળતર માન્ય રાખ્યું છે. અદાલતે પીડિતના શરીર પરના કૂતરાના એક દાંત દીઠ રૂ.૧૦,૦૦૦ અને જો માંસ બહાર આવ્યું હોય તો ૨ ઈંચના ઘા માટે રૂ.૨૦,૦૦૦ ઠેરવ્યા છે. આ ચુકાદામાં માનવીના પશુથી રક્ષણની રાજ્ય સરકારોની જવાબદારી નક્કી કરી છે. પહેલાં બોમ્બે હાઈકોર્ટે અને પછી સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાંને ખાવાનો અને નાગરિકોને તેમને ખવડાવવાનો અધિકાર માન્ય રાખ્યો છે. રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ભારત સરકાર ૨૦૩૦ સુધીમાં દેશમાંથી હડકવા નાબૂદ કરવા સંકલ્પબધ્ધ છે અને ૯૭ ટકા હડકવાના કેસો કૂતરાં કરડવાથી થાય છે ત્યારે આ કૂતરાંનું શું કરીશું ?
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આવડે એવું ગાઈએ અમે….
કૃષ્ણ દવે
એમ ઉછીના સુખના છાંટે કોઈ’દિ ના છલકાઈએ અમે.
હોય નાની પણ મોજ પોતીકી આવડે એવું ગાઈએ અમે.એક બે લીલાં, એક બે સૂકા તરણાં ને આ ઝૂલતી ડાળો;
આપણી નાની ચાંચ ગૂંથીને મેળવી આપે સુખનો તાળો.
એ ય ને નાનું આભ માળામાં ટહુકે ને મલકાઈએ અમે.
હોય નાની પણ મોજ પોતીકી આવડે એવું ગાઈએ અમે.દુ:ખની હેલી હોય લગાતાર તોય નથી તલભાર મૂંઝાતું;
ધૂળની નાની ઢગલી સાથે રમતાં જેને આવડી જાતું.
એ ય ધજાની જેમ મજાની લ્હેરખીમાં લ્હેરાઈએ અમે.
હોય નાની પણ મોજ પોતીકી આવડે એવું ગાઈએ અમેમૂળને જરાક મ્હેંક મળી તો એમ થયું કે આપતો આવુ.
રંગની છાલક ડાળને આવેલ સપનાં ઉપર છાંટતો આવુ.
એ ય ને એમાં સાંજ પડે તો ખરતાં ક્યાં શરમાઈએ અમે ?
હોય નાની પણ મોજ પોતીકી આવડે એવું ગાઈએ અમે.તા-૨૦-૧૨-૨૦૧૯
**
: આસ્વાદ :
દેવિકા રાહુલ ધ્રુવ
શિશુસહજ નિર્દોષતાથી થતો કવિતાનો ઉઘાડ ‘આવડે એવું ગાઈએ અમે’ મનોગમ્ય બન્યો છે. ચાર પંક્તિઓના ત્રણ અંતરામાં લખાયેલ આ ગીતની ધ્રુવપંક્તિ વાંચતાની સાથે, ઝુમતા લયને કારણે, મન મલકાટ અને મસ્તીથી આનંદિત થઈ ઊઠે છે.
એમ ઉછીના સુખના છાંટે કોઈ‘દિ ના છલકાઈએ અમે.
હોય નાની પણ મોજ પોતીકી આવડે એવું ગાઈએ અમે.સ્વમાન અને આત્મશ્રદ્ધાના રણકા સાથે સંગીતનો નાદ લઈને આ ગીત આવે છે. કશું જ સમજાવવાની જરૂર વગર શીરાની જેમ ગળે ઉતરી જઈ આપમેળે ગણગણવાનું શરૂ થઈ જ જાય છે. ઉછીનું સુખ ખુશી આપતું નથી. નાની પણ પોતીકી મોજ કેવી મઝાની હોય છે એ વાતને આગળ વધારતા કવિ કહે છેઃ
એક બે લીલાં, એક બે સૂકા તરણાં ને આ ઝૂલતી ડાળો;
આપણી નાની ચાંચ ગૂંથીને મેળવી આપે સુખનો તાળો.પ્રકૃતિની રોજેરોજની નજર સામે જ થતી રહેતી સાહજિક પ્રવૃત્તિઓ ખૂબ ખૂબીથી જોતી કવિની નજર વિરોધાભાસની વચ્ચે પણ ઊંચેરા આનંદને શોધે છે. તરણાં લીલાં હોય કે સૂકાં પણ ડાળ તો ઝુલતી જ રહે છે ને વળી એના પર બેઠેલ,ચાંચમાં ચાંચ પરોવીને શ્વસતાં પંખીઓ. એના ટહુકાથી ઉભરાતું આકાશ અને એ જોઈને છલકાતું માનવીનું મન..“ એ ય ને નાનું આભ માળામાં ટહુકે ને મલકાઈએ અમે.” કેવી સુંદર સમજણની સરખામણી! વાહ… હોય નાની પણ મોજ પોતીકી આવડે એવું ગાઈએ અમે…
એ જ વિષય આગળ ક્રમિકપણે ગતિ કરીને વળી એક બીજું દૄશ્ય ઊભું કરે છે. નાની સરખી ધૂળની ઢગલી સાથે રમવાની મઝા લેતું મન કેવું બાલસહજ હશે! અને બાળકને મન તો સુખ શું કે દુઃખ શું? એ તો સદા મસ્તીમાં. ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ એ ક્યારેય મૂંઝાતું નથી. કારણ કે, બધી પરિસ્થિતિઓમાં એની તો સ્થિર મનોભૂમિકા છે. કવિએ કેવા ઉચિત શબ્દોમાં આંખ ઠરતું દૄશ્ય ઊભું કર્યું છે! “દુ:ખની હેલી હોય લગાતાર તોય નથી તલભાર મૂંઝાતું. ધૂળની નાની ઢગલી સાથે રમતાં જેને આવડી જાતુ.” પીડાનો પહાડ હોય, આફતોની આંધી હોય કે દુઃખોની હેલી હોય એ તો બસ નિજાનંદે મહાલતું રહે છે. આભે ફરકતી ધજાની જેમ મઝાની લ્હેરખીમાં લહેરાતું રહે છે. જીવનની સફળતાની આ જ તો ચાવી છે, કહો કે સાચા જીવનની જડીબુટ્ટી છે આ તો. રવીન્દ્રનાથ ટાગોરની કલ્પનાનો ભાવ અહીં છતો થયેલ વરતાય છે કે, ‘દિલ શિશુનું હોવું અને દિલને દુનિયા ન હોવી”.
ત્રીજાં અંતરામાં આવા સુંદર ભાવના પમરાટને, ખૂબ સાહજિક રીતે કવિ કહે છે કે,”મૂળને જરાક મહેક મળી તો એમ થયું કે આપતો આવું’.. કેવી ઊંચી અને ઉમદા ઇચ્છા! અને તે પણ અતિ ૠજુતાપૂર્વક અને નમ્રપણે. ક્યાંય ગુમાનનો લેશમાત્ર છાંટો નથી. એટલું જ નહિ કલ્પના તો જુઓ? ‘રંગની છાલક ડાળને આવેલ સપનાં ઉપર છાંટતો આવુ’..ડાળને જાણે કે સ્વપન આવ્યું હોય અને તેમાં આ એક નવો રંગ છાંટી આવવાની ખેવના છે. અદભૂત અલંકાર પ્રયોજ્યો છે. કોના મૂળને મ્હેંક મળી છે, કઈ ડાળને સ્વપ્ન આવ્યું અને કયો રંગ છાંટવાની અહીં વાત છે એ ભાવકના મનોજગત પર છવાઈ જાય છે. સ્વાભાવિકપણે જ અહીં ‘ગમતાનો ગુલાલ’ કરવાની કવિ શ્રી મકરંદ દવેની કવિતા યાદ આવી જાય છે.
આખાયે ગીતનો આ જ તો સંદેશ છે કે, ફૂલ જેવા હળવા થઈને રહો, મનને મસ્તીમાં રાખો, સારું અને ગમતું બધું વહેંચતા રહો, કોઈના સપનામાં રંગો ઉમેરતા રહો અને એમ કરતાં કરતાં ખરી જઈએ તો પણ શું? ‘એય ને એમાં સાંજ પડે તો ખરતાં ક્યાં શરમાઈએ અમે ?’
જીવનની સાંજ પડે ઢળીએ કે ફૂલોની પાંદડી કે ડાળ પરના પાનની જેમ ખરીએ તો પણ શું વાંધો? સહજપણે સારું કામ કરનારને વળી શરમાવાનું ક્યાં?
ખરેખર, કવિ શ્રી કૃષ્ણ દવે કહે છે તેમ જીવનની નાની નાની પળોને ઉજવતું ૨૦૧૯ના વર્ષનું આ છેલ્લું ગીત એક શ્રેષ્ઠ ગીત તરીકે આપણને મળ્યું છે. કુદરતને ખોળે બેસીને લખાયેલ એક સુંદર ચિત્ર ઉપસાવે છે. કવિતાનો લય એનું ખૂબ મોટું જમા પાસું મેં અનુભવ્યું. એવું અને એટલું બધું કે બીજી સવારે આ ગીતના લયની જબરદસ્ત અસરે એ જ લયમાં એક ગીત લખાવ્યું જેના શબ્દો છેઃ
કાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.
કાળની પીંછી ક્ષણના રંગે યુગને ચીતરી આપતી જશે.
Devika Dhruva.
ddhruva1948@yahoo.com -
‘ઠુમક ચલત…’
પારુલ ખખ્ખર
રાતના બે વાગ્યા છે, ચંદ્રનું ઓઘરાળું અજવાળું બારીમાંથી આસ્તેકથી પ્રવેશીને પલંગની કોર પર બેસી ગયું છે. મેં યાદ કરવાનો પ્રયત્ન કર્યો, ‘આજે કઈ તિથી છે?’ ન યાદ આવ્યું. અજવાળાને પણ મારી જેમ ઊંઘવામાં રસ ન હોય તેમ મારી સામે ઠરીને બેઠું છે. વાર્તા સાંભળવા ઉત્સુક બાળકની જેમ મારી સામે આશાભરી આંખે ટગર ટગર તાકી રહ્યું છે. મેં પણ એની સામે તાકીને જોયે રાખ્યું, કદાચ વાર્તા સુજી આવે! ન સુજી. સંવાદવિહીન અવસ્થામાં અમે એકબીજાનો સાથ માણી રહ્યાં. એ કેટલાયે ઘરોમાં, કેટલીયે બારીઓ વાટે કોણ જાણે કેટલાયે પલંગ પર બેસીને આમ વાર્તાની ઉઘરાણી કરતું હશે! કદાચ ક્યાંકથી વાર્તા મળી જતી હશે, ક્યાંક વાર્તા બની પણ જતી હશે!
મેં પલંગની જમણી બાજુએ ખાલી રહેલ વિશાળ જગ્યા પર નજર ફેરવી. આ એ જગ્યા હતી જેને લોકો ‘સ્પેસ’ કહેતા હોય છે. મેં બસ એમ જ એ સ્પેસ પર હાથ ફેરવ્યો. ચોળાયા વગરની ચાદરનો લીસ્સો સ્પર્શ ત્રીસ દિવસથી આદતનો ભાગ બની ગયો છે. ઓશીકા સામે જોયું તેલના ડાઘા વગરનું ચોખ્ખુંચણાક કવર હુંફાળુ મલકતું હતું અદ્દલ બીજા રૂમમાં નિંદર માણી રહેલા પેલા શખ્સની જેમ જ! મેં પ્લાસ્ટરવાળા પગને સહેજ ઊંચો લીધો, એની નીચે ઓશીકું મૂક્યું. અજવાળાની આંખોમાં ચમક આવી! એ જરા નજીક આવ્યું. હું દિવાલને ટેકો લઈ નિરાંત જીવે બેઠી. ઓશીકા નીચેથી એક્સ-રે બહાર કાઢ્યો. સહેજ ઊંચો કરી બારી સામે ધર્યો, અજવાળાએ પણ માથું ઊંચુ કર્યું. એક્સ-રેમાં દેખાતા કાળપભર્યા સફેદ રંગના પગને જોઈ રહી. કેટલો કદરુપો! ન આંખને ઠારે તેવા રંગ-રૂપ કે ન આકાર! કોઈ સ્ત્રીનો પગ આટલો અરસિક કેમ હોઈ શકે? જે પગની પાનીઓને ગુલાલની ઢગલીની ઉપમાઓ અપાતી હોય, જે પગના તળિયાના ખાડા જોઈ ‘શુકનવંતી’નું બિરુદ મળતું હોય, જે પગને ક્રીમ અને માલિશ વડે સુંવાળા બનાવવામાં આવતા હોય, જે પગની નાજુક આંગળીને જોઈને અનેક ઉપમાઓ સુજતી હોય, જે પગના શેપ અપાયેલા મનમોહક નખને નેઇલપેન્ટ વડે રમ્ય બનાવવામાં આવતા હોય એ પગ આટલા શુષ્ક!. એ પગલું ઉપાડે ત્યાં રસના ઘોયાઓના શ્વાસ અધ્ધર થઈ જતાં હોય, એ પગલું નીચે મૂકે ત્યારે એની નીચે કચડાઈ જવા હજારો હૈયાઓ તલપાપડ થતાં હોય એવો એક સ્ત્રીનો પગ આવો નીરસ કેમ હોઈ શકે?
એ પગ પોરો ખાવા સોફા પર લંબાવાયા હોય ત્યારે તડકો એને સ્પર્શવા રઘવાયો થતો હોય, એ પગ બીજા પગ પર ચડાવીને ધીમોધીમો ઝુલતો હોય ત્યારે જગતભરના કવિઓની લેખનશૈલી ડામાડોળ થઈ જતી હોય, એ પગ પાર્લરમાંથી પેડીક્યોર થઈને આવે ત્યારે ભલભલા તપસ્વીઓના તપ પર પાણી ફરી વળતું હોય, એ પગની પીંડીની રેશમી ઝલક પામવા નગરજનોની નજર ભરબજારે શરમ નેવે મૂકીને નીચી નમતી હોય! આ એ જ પગ આજે એક્સ-રેના અરીસામાં સાવ નફ્ફટ-નિર્લજ થઈને ઉઘાડો ઊભો હતો.
અજવાળાએ એક્સ-રે પાછળથી ડોકું લંબાવી પૂછ્યું ‘બસ.. આટલી જ છે પગની વારતા?’ હું કશો જવાબ આપું એ પહેલાં તો રાસ રમતાં વાગેલી ઠેસ એના બધાજ દર્દો સહિત ફરિયાદની મુદ્રામાં આવી ઊભી, પગના તળિયે થયેલી કપાસીની ચીસ અમાસી રાતના અંધારની જેમ ચોતરફ ફરી વળી, એડીમાં પડેલા વાઢિયામાં ચોર્યાસીલાખ વહાણોના કાફલા ડૂબવા લાગ્યાં, આંગળીઓના કપાયેલા નખ ડસ્ટબીનમાં પડ્યાં પડ્યાં ગુંગળાવા લાગ્યાં, પાકી ગયેલું નયું લવકારા મારતું દોડતુંક રોમેરોમ ફરી વળ્યું, સળગતાં ફટાકડા પર મૂકાઈ ગયેલું તળિયું એના ફરફોલાનો અસબાબ લઈ આવી ચડ્યું, ખેતરે જતાં વાગેલી બાવળની શૂળ પીડાના તમામ આયામો પાર કરીને છાજીયા લેવા લાગી, ચંપો ઉતારવા મારેલ ઠેકડાએ ધણધણાવી નાંખેલ આખોયે પંજો ધ્રુજતો ધ્રુજતો દયાની માંગણી કરતો કરગરી રહ્યો, બાજુના ફળિયાની રંગોળી જોવા દિવાલ પરથી લસરતા થયેલો કરકરો સ્પર્શ લોહીના ટશિયા સાથે નિર્દોષતાની સાબિતી આપતો નતમસ્તક ઊભો રહ્યો, નવા ચપ્પલનો નવોનવો ડંખ એનું ગુલાબી માંસ દેખાડવા તત્પર થયો.
હું સ્તબ્ધ બની પગના પંજાનો એક્સ-રે જોઈ રહી હતી અને પગ પોતાના અવનવા રૂપ સાથે અવનવા વેશ લઈને સાક્ષાત થયો હતો. હું વિચારતી રહી કે… આ એ જ પગ જે દુધે ધોવાઈને કંકુ-ચોખા વડે પૂજાયા છે, આ એ જ પગ જેના પર મહેંદીની ભાત ઘાટો રંગ લાવી છે, આ એ જ પગ જે બાળપણમાં મોંમા લઈ ચૂસાયા છે, આ એ જ પગ જે અંતિમ સમયે નનામી પર કચકચાવીને બંધાયા છે, આ એ જ પગ જે કંકુની થાળીમાં ઝબોળાઈને ગૃહપ્રવેશ પામ્યાં છે, આ એ જ પગ જે પ્રિયજનના સાજા થયાની માનતા ઉતારવા ચપ્પલ વગર કુળદેવતાના દર્શને ગયાં છે, આ એ જ પગ જે ઉતરાયણના દિવસે કાચ પાયેલ દોરાની ગુંચમાં ફસાયા છે, આ એ જ પગ જે ‘દીકરીને ગાય દોરે ત્યાં જાય’ કહીને વળાવી દેવામાં આવ્યાં છે. આ એ જ પગ જે ઘુંઘરુની નાગચૂડમાં ફસાઈને તરફડતાં રહ્યાં છે, આ એ જ પગ જે એવોર્ડ સ્વીકારવા મખમલી લાલ જાજમ પર ચાલ્યાં છે, શું આ એક્સ-રેમાં દેખાય છે તે એ જ પગ છે?
મને પગના અવનવા સ્વરુપોનો સક્ષાત્કાર થઈ રહ્યો હતો અને અજવાળાને મજા પડવા લાગી હતી. મને થયું…આ એ જ પગ જેના માટે ચીઠ્ઠીમાં લખીને અપાયું હતું ‘આપકે પાંવ બહોત હસીન હૈ… ઇસે જમીન પે મત ઉતારીયેગા’? આ એ જ પગ જે સતીત્વની ખાતરી આપવા અગ્નિપથ પર ચાલ્યાં છે? આ એ જ પગ જે વૃંદાવનની ગલીઓમાં રાસ રમ્યાં છે? આ એ જ પગ જે લક્ષ્મણરેખા પાર કરીને વાયા અશોકવાટિકા થઈ જંગલમાં જઈને વિરમ્યાં છે? આ એ જ પગ જે દેશને ચન્દ્રક અપાવવા દોડ્યાં છે? આ એ જ પગ જે ‘ડોલ્સ હાઉસ’ના ઉંબરાને ઓળંગી ગયાં છે? આ એ જ પગ જે રાણાનો મહેલ છોડી કાન્હાના મંદિર તરફ વળ્યાં છે? આ એ જ પગ જે સ્વતંત્રતા અભિયાનમાં પતિના પગલામાં પગલું ભેળવીને દોડ્યાં છે? આ એ જ પગ જે દીનદુઃખીયાની સેવામાં ઘસાયા છે? આ એ જ પગ જે વતનને આઝાદ કરાવવા શસ્ત્રોની સાથે બાળકને ખભે લઈને ઘોડે ચડ્યાં છે? આ એ જ પગ જે વનમાં ગયેલા પ્રિયતમની રાહમાં ઝરુખા સાથે જડાઈ ગયાં છે? આ એ જ પગ જે પાંચ પાંચ પતિઓ સાથે વનમાં ફર્યા છે? શું ખરેખર આ એ જ પગ છે? જે સ્ત્રી પગ પારિજાતની કોમળતાનું વરદાન પામીને અલગ અલગ માર્ગે અલગ અલગ હેતુ સાથે ફર્યા છે એ આવા અણઘડ હાથે ઘડાયેલા પાત્ર જેવાં બેડોળ કેમ છે?
હું હજુયે એક્સ-રે સામે ધારીધારીને જોઈ રહી છું. આ નળાકાર કુરુપ હાડકા સાથે જોડાયેલ અન્ય હાડકાનું માળખુ એટલે જ પગ? જો આ જ અસલી પગ છે તો પછી પેલા ચાલતાં, દોડતાં, કસરત કરતાં, દોરડા કુદતાં, સાયકલ ચલાવતાં, સ્કૂટીને કીક મારતાં, કારને બ્રેક મારતાં, રેતીમાં ખૂંપતાં, બરફ પર લસરતાં, નાચતાં, પરેડ કરતાં, રાસની ઠેસ લેતાં, ડગુમગુ ચાલવાનું શીખતાં એ ક્યા પગ છે? ક્યુ સત્ય માનવું? એક્સ-રેમાં દેખાય છે તે કે પછી અન્ય સમયે જોયું,અનુભવ્યું છે એ? અર્ધ ઉજમાળી રાતે છ બાય સાતના પલંગ પર ડાબી તરફનું ગાદલું પચાવીને અસ્થિભંગ થઈ પ્લાસ્ટરમાં લપેટાયેલો મારો પોતાનો પગ મને સાંભર્યો. મેં એક્સ-રેને નજર સામેથી દૂર કરીને પેલા ચોખ્ખા ઓશીકા નીચે મૂક્યો. થોડીવાર સફેદ પાટામાં જકડાયેલા પગ તરફ જોયે રાખ્યું પછી સહસા અજવાળા તરફ ધ્યાન ગયું. એ અધીરું થઈ કશુંક બોલવાની રાહમાં હતું. એની તાલાવેલી જોઈ મેં પૂછ્યું ‘તારે કશું કહેવું છે?’
એ કહે ‘હાસ્તો’
મેં થાકેલા સ્વરે કહ્યું ‘કહેવા જેવું બધું જ આ એક્સ-રે કહી ચૂક્યો છે તારે કશું નવું કહેવાનું હોય તો કહે’
એ ધીરગંભીર સ્વરે બોલ્યું ‘તને એક્સ-રેએ જે બતાવ્યું તે ભૂલી જા, તને તારી આંખોએ જે બતાવ્યું એ ભૂલી જા, તને તારી અંદર જે અનુભવાયું એ ભૂલી જા… ફક્ત આ પાટાની શુભ્રતા તરફ જો, આ પ્લાસ્ટરની મક્કમતા તરફ જો, આ પગ સિવાયના તમામ સ્વસ્થ અંગો સામે જો, આ રાતના હાંફતા અંધાર તરફ જો, આ ઝાંખાપાંખા તારલાઓ સામે જો, જે છે તે આ ક્ષણ છે. જે છે તે આ ક્ષણનું સત્ય છે. આ પીડા, આ વેદના, આ અસહાયતા, આ પરાધિનતા બધું જ આ ક્ષણે છે, આવનારી ક્ષણોમાં નહીં હોય તે નિશ્ચિત છે. તું બસ… આ ક્ષણોને પસાર થતી જોઈ લે. એને પકડવા ન મથીશ કે ન એને ધક્કો મારીશ. બસ… સાક્ષીભાવે જોયા કર. આ ક્ષણોને પસાર થવા દે… બધા જ દર્દો શમી જશે, કોલાહલો શાંત થશે. બસ… તું જોયા કર…
મારી આંખો પર ભાર વર્તાવા લાગ્યો. પાટાની શુભ્રતા પર સ્થિર થયેલી મારી આંખો બીડાતી ગઈ… બીડાતી ગઈ… જ્યારે ખુલી ત્યારે પૂજાઘરમાંથી ‘ઠુમક ચલત રામચંદ્ર… બાજત પૈજનિયા…’ સંભળાઈ રહ્યું હતું. સૂર્યનો કોમળ તડકો બારી વાટે પાટાની શુભ્રતાને ઉજમાળી રહ્યો હતો. મેં કેલેન્ડરમાં જોયું આજે પ્લાસ્ટર ખુલવાનું હતું. હું આકાશ સામે જોઈને મલકી, મારું પ્લાસ્ટર તો કાલે રાતે જ ખુલી ગયું હતું.
‘એતદ્’ સામયિકના જૂન-ઓગસ્ટ ૨૦૨૨ના અંકમાં પ્રકાશિત
સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
કોઈનો લાડકવાયો (૪૧) – ગદરના વીરો (૪)
દીપક ધોળકિયા
ગદરના વીરો (૩) થી આગળ
પ્રથમ વિશ્વયુદ્ધ અને કડક સરકારી જાપ્તો
ગદર પાર્ટીના કાર્યકર્તાઓ સરકારની નજરમાં હતા અને સરકાર જાણતી હતી કે કામાગાટા મારૂના મુસાફરો ગદર પાર્ટીના સંપર્કમાં હતા. સરકારે વિદેશથી આવતા કોઈ પણ માણસની હિલચાલ શંકાસ્પદ લાગે તો એને પકડીને પોલીસને હવાલે કરી દેવાની બંગાળ અને મદ્રાસ પ્રાંતોને સત્તા આપી હતી. કાલપીમાં જહાજ લાંગર્યું કે તરત પોલીસો એમાં ઝડતી લેવા ચડી ગયા. મુસાફરોએ તો એના માટે તૈયારી રાખી જ હતી. એમણે ગદર પાર્ટીનાં ચોપાનિયાં, છાપાં વગેરે સમુદ્રમાં ફેંકી દીધાં હતાં. બાબા સોહન સિંઘ ભકનાએ બે પેટી ભરીને પિસ્તોલો અને ગોળીઓ આપી હતી તેમાંથી ઘણી કટાઈ ગઈ હતી, તે બધી ફેંકી દઈને કામ આવે તેવી સારી પિસ્તોલો અને ગોળીઓ સંતાડીને રાખી દીધી હતી. પોલીસે ત્રણ દિવસ જહાજના ખૂણેખૂણે કેટલીયે વાર તપાસ કરી પણ કંઈ વાંધાજનક ન મળ્યું એટલે ૨૯મી સપ્ટેમ્બરે પોલિસે જહાજને કાલપીથી બજબજ ઘાટ લઈ જવાનો હુકમ કર્યો. બજબજ ઘાટ પર એક ખાસ ટ્રેન તૈયાર રાખવામાં આવી હતી. સરકારની યોજના એવી હતી કે મુસાફરોને જહાજથી ઉતારીને સીધા ટ્રેનમાં બેસાડી દઈને પંજાબ પહોંચાડી દેવા.
પોલીસે મુસાફરોને પોતાનો સામાન સાથે લેવા ન દીધો, પણ મુસાફરોએ ગુરુ ગ્રંથસાહેબનું સુખાસન ઉપાડી લીધું. ધરમની વાતમાં પોલીસના ગોરા અફસરોનું કંઈ ચાલે એમ નહોતું. જહાજમાં બે બાળકો સહિત ૩૨૧ મુસાફરો હતા, તેમાંથી ૫૯ તો ટ્રેનમાં બેસી ગયા. બાકીના મુસાફરોએ બજબજ ઘાટ પર ઊતરીને ટ્રેનમાં બેસવાની ના પાડી અને કલકત્તા જવાની માગણી કરી. એમણે કહ્યું કે તેઓ ગુરુ ગ્રંથસાહેબને કલકત્તાના ગુરુદ્વારામાં મૂકીને પછી જ બીજાં કામો કરશે. સિપાઈઓ એમને ધકેલતાં સ્ટેશને લઈ ગયા પણ એ ટ્રેનમાં ન ચડ્યા અને બેસી જઈને સબદ-કીર્તન કરવા લાગ્યા. શું કરવું તે કોઈને સમજાતું નહોતું. ઓચિંતા જ મુસાફરો સુખાસન ઊંચકીને કલકત્તા તરફ ચાલવા લાગ્યા. ગુરુ ગ્રંથસાહેબ હોવાને કારણે એમની સામે બળજબરી પણ વાપરી શકાય તેમ નહોતું. ગોરા અફસરો એમને રોકવાની કોશિશ કરતા રહ્યા પણ એમને પાછા વાળવામાં કલાકો લાગી ગયા. અંતે જો કે એમણે બધા મુસાફરોને સ્ટેશને પહોંચાડી દીધા.
રક્તપાત
પરંતુ એમની ટ્રેન તો નીકળી ગઈ હતી. અફસરો બીજી ટ્રેનની વેતરણમાં હતા, ત્યારે સાંજનું અંધારું ઊતરવા લાગ્યું હતું. રાતવાસો કોઈ ખાલી જગ્યામાં કરવો પડે એમ હતું. મુસાફરો ફરી સુખાસનને ગોઠવીને બેઠા અને સબદ-કીર્તનમાં લાગી ગયા. એ જ વખતે સુપરિન્ટેન્ડન્ટ ઈસ્ટવૂડ હાથમાં સોટી સાથે ગુરદિત્તા સિંઘને બોલાવવા આવ્યો. એનું આ રીતે ગ્રંથસાહેબ સમક્ષ આવવું સૌને અપમાન જેવું લાગ્યું. ગુસ્સાની એક લહેર દોડી ગઈ. એમણે ઈસ્ટવૂડને ઘેરી લીધો. એક જણે એના હાથની સોટી ઝુંટવી લીધી. ઈસ્ટવૂડે પિસ્તોલ કાઢીને બે ગોળી છોડી. કોઈને ઈજા ન થઈ પણ રોષ ભભૂકી ઊઠ્યો. મુંશા સિંઘ નામનો એક મુસાફર જહાજમાંથી ઊતરતી વખતે એક પિસ્તોલ છુપાવીને લાવ્યો હતો, એણે વળતો ગોળીબાર કર્યો તેમાં ઈસ્ટવૂડ માર્યો ગયો, બીજા એક અફસર પૅટ્રીને જાંઘમાં ગોળી વાગી. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બંદુકધારી સૈનિકોની ટુકડી ઊભી હતી. ગોળીઓની રમઝટ વચ્ચે પણ મુસાફરોએ પોલીસો પર હુમલો કર્યો. એમની બંદૂકો અને તલવારો ઝુંટવીને એમના પર જ હુમલો કર્યો. કેટલાક સિપાઈ આમાં માર્યા ગયા કે ઘાયલ થયા. પરંતુ ફોજીઓના હુમલા સામે મુસાફરો ટકી ન શક્યા. એ બજાર તરફ ભાગ્યા તો ત્યાં પણ એમને નિશાન બનાવ્યા.
ધીંગાણું બંધ થયું ત્યારે આ અંધાધૂંધીમાં પચાસ-સાઠ મુસાફરો ભાગી છૂટ્યા હતા; ૧૨ જણના જાન ગયા. બીજી લાશો સમુદ્રકાંઠે કે બજારમાં મળી. સાતને ગંભીર ઈજાઓ સાથે હૉસ્પિટલ પહોંચાડવા પડ્યા. બીજા ૨૯ને કેદ કરી લેવાયા. આના માટે તપાસ પંચ નિમાયું તેના રિપોર્ટ પ્રમાણે ૩૨૧માંથી ૨૬૦ જેલોમાં હતા અને ૧૯નાં મોત ગોળીથી થયાં હતાં.
૦૦૦
કામાગાટા મારૂની ઘટના ગદર પાર્ટીના સશસ્ત્ર સંઘર્ષના ઇતિહાસનું મહત્વનું અંગ છે, પરંતુ મુખ્ય અંગ નથી. એ મુખ્ય ઝાડમાં ફૂટેલી નવી શાખા છે, એક મહત્વની આડકથા છે. એ કથા ગદર પાર્ટીના કાર્યક્રમનો ભાગ નહોતી પરંતુ સૈદ્ધાંતિક રીતે એ ગદરના સિદ્ધાંતોની નજીક હતી. પરંતુ કામાગાટા મારૂ સાથે ગદરની કથાનો અંત નથી આવતો.ઠેકઠેકાણેથી આવેલા ગદરીઓએ ધીમે ધીમે સૈન્યમાં પણ ઘૂસવાનું શરૂ કર્યું. સૈનિકો કે સિપાઈઓમાં ઘણાખરા ગામડાંના હતા એટલે ગદર પાર્ટીનો પ્રચાર તો એમના સુધી પહોંચ્યો હતો. અમુક સ્તરે એમના તરફથી સહકાર મળવાની પણ આશા હતી. આ સ્થિતિમાં એમણે બે આર્મી કૅમ્પો પર હુમલા કરવાનું નક્કી કર્યું. આમાં ૨૩મી ડિવીઝનના સિપાઈઓ પણ સામેલ થવાના હતા. બધા એના હેડ ક્વાર્ટર્સ પર હુમલો કરવાના હતા. પણ આર્મીનાઅ એક ગ્રંથિએ (ધાર્મિક શીખ કર્મચારીએ) એમને વાર્યા. જો કે ચાર ઘોડેસવારો વિદ્રોહીઓ જ્યાં હતા ત્યાં મોડેથી પહોંચ્યા પણ એ વખતે તો બધા ચાલ્યા ગયા હતા. આમ કૅમ્પ પર હુમલા કરવાની યોજના નિષ્ફળ રહી.
એ જ રીતે ફિરોઝપુર કૅંટોનમેન્ટ પર હુમલો કરવામાં એમને નિષ્ફળતા મળી. ્હુમલો કરવાના ઇરાદે ગયા તો હતા પણ એમને સમાચાર મળ્યા કે ૩૦મી નવેમ્બર સુધીમાં એમને આર્મીનાં હથિયાર એક કૅમ્પમાંથી મળી જશે. એટલે બધા ટ્રેનમાં બેસીને પાછા ફરી ગયા. તેમ છતાં અમુક રહી ગયા તે ટાંગાઓ કરીને પાછા જતા હતા. સંયોગોવશાત એ દિવસે પોલીસ દળનો એક મોટો અધિકારી ત્યાં આવવાનો હતો એટલે સિપાઈઓએ ટાંગા રોકીને બધાને જમીન પર બેસાડી દીધા. એક સિપાઈને શું સૂઝ્યું કે એણે એક ગદરી રહમત અલી વાજિદને થપ્પડ મારી દીધી. આ જોઈને ભગત સિંઘ કચ્ચરમનને ગુસ્સો આવી ગયો અને એણે કંઈ જોયા જાચ્યા વગર પોતે ઓઢેલી ચાદરમાં છુપાવેલી પિસ્તોલ કાઢીને ગોળીબાર કર્યો. એમાં સિપાઈઓની ટુકડીનો લીડર માર્યો ગયો. એના બચાવમાં આવેલો બીજો એક સિપાઈ પણ માર્યો ગયો. પરંતુ તે પછીં વિદ્રોહીઓ ભાગી જવાને બદલે ઝાડીઓમાં છુપાઈ ગયા. થોડી વારમાં પોલીસની મોટી ટુકડી આવી અને આખા વિસ્તારને ઘેરી લીધો. હવે ગદરીઓ બચી શકે તેમ નહોતા. બે પોલીસના નિશાને ચડી ગયા અને બાકીના બીજા પકડાઈ ગયા. એમના પર કેસ ચલાવીને તાબડતોબ સાતને મૃત્યુદંડ આપવામાં આવ્યો, બીજાને પણ સખત કેદની સજા થઈ. જે હાથમાં ન આવ્યા એમને ‘ભાગેડુ’ જાહેર કરવામાં આવ્યા.
ગદર ગાથા હજી આગળ ચાલશે
૦૦૦
સંદર્ભઃ
- गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩. ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક) | સંપર્કઃ daanishbooks@gmai.com //www.daanishbooks.com
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
પલટવાર
અંકિતા સોની
પોલીસ સ્ટેશનમાં આજે સવારથી જ દોડાદોડ હતી. લોકોની ભીડ જામતી જતી હતી. જેને ખબર મળે એ તરત જોવા આવતું. ” ઘોર કલિયુગ છે ભાઈ!” કેટલાક લોકો બોલી રહ્યા હતા. છેવટે પોલીસ સ્ટાફે જેમ તેમ કરીને ભીડને ત્યાંથી હટાવી.
વાત જ કંઈક એવી હતી. વહેલી સવારે શહેરના છેવાડે આવેલા મંદિરના પગથિયે પૂજારીને ધાબળામાં વીંટાળેલી નવજાત બાળકી મળી આવી હતી. થોડીક વાર આમતેમ એના માબાપની તપાસ કરી પણ કંઈ પત્તો લાગ્યો નહીં. બાળકી ભૂખથી ખૂબ રડી રહી હતી. પાસે આવેલી ગૌશાળામાંથી તાજું દૂધ લાવીને બાળકીને પીવડાવ્યું. ધીમે ધીમે દર્શનાર્થીઓ આવવા લાગ્યા. લોકોની મદદથી પૂજારી બાળકીને લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યાં.
પોલીસે બાળકીના માબાપને જેમ બને એમ જલ્દી શોધવાનું બીડું ઝડપ્યું. સી.સી.ટીવી.ની ફુટેજના આધારે શકમંદોને પકડી પાડી પૂછપરછ કરી. થોડા કલાકોમાં બાળકીને નોંધારી ત્યજનાર માણસ ઝડપાઈ જ ગયો. એ માણસ બીજો કોઈ નહીં પરંતુ એનો સગો બાપ નીકળ્યો! પોલીસે કડકાઈ બતાવી તો ભયનો માર્યો સાચું બોલી ગયો. કેટકેટલીય બાધા–આખડીઓ કર્યા પછી દીકરો જ આવશે એવા કોઈ પાખંડી તાંત્રિક પર વિશ્વાસ મૂકીને રૂપિયાનું પાણી કર્યું. પણ છેવટે ત્રીજી દીકરી જ આવી. હવે એ અને એની પત્ની આ દીકરીને રાખવા જ નહોતા માંગતા.
બાળકીની સલામતીને પ્રાથમિકતા આપવી વડા પોલીસ અધિકારીને જરૂરી લાગી એટલે મહિલા સામાજિક કાર્યકરને બોલાવીને હાલ પૂરતી બાળકી સોંપવામાં આવી. મીડિયામાં સમાચાર વાયુ વેગે પ્રસર્યા. અનેક લોકોએ બાળકીને દત્તક લેવાની તૈયારી પણ બતાવી.
આખરે જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને કેનેડામાં વસતા એક નિઃસંતાન દંપતીને એ બાળકી સોંપાઈ. હંમેશા ખુશમિજાજ રહેતી એ બાળકીના નવા માતાપિતાએ એને ‘હેપ્પી‘ નામ આપ્યું. ખૂબ જ જતન અને લાડકોડથી બાળકી મોટી થઈ. ઉચ્ચ શિક્ષણ મેળવીને એ પુરાતત્વ સંશોધક બની.
પોતે મૂળ ભારતીય છે એ સચ્ચાઈથી અજાણ હેપ્પીને ભારત દેશ પ્રત્યે પહેલેથી જ લગાવ અનુભવાતો. ઈન્ટરનેટના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને પુરાતત્વ અવશેષોની રસપૂર્વક માહિતી મેળવતી. એ અરસામાં બીમારીમાં એની માતાનું મૃત્યું થયું. હવે પિતા એકલા જ રહ્યા. માતાની જૂની ડાયરીમાંથી એને કેટલાક જરૂરી કાગળિયા ને ફોટા મળ્યા. પિતાના મુખે પોતે દત્તક પુત્રી હોવાનું રહસ્ય ખૂલતાં ભારત આવવાની અદમ્ય ઈચ્છાને એ રોકી ન શકી અને સંશોધનના બહાને એ પોતાની ટીમ સાથે ભારત પહોંચી.
હેપ્પીએ ભારત આવીને અનેક સ્થળોની મુલાકાત લીધી. અહીંના લોકોની પાસેથી રીતભાત અને બોલી પણ શીખી.
એક વાર હેપ્પી હજારો વર્ષ જૂના–પુરાણા એક મંદિર અને એની નજીક આવેલી વાવનું નિરીક્ષણ કરવા રોકાઈ. સરતચુક એનું પર્સ ક્યાંક પડી ગયું. એક અર્ધપાગલ ભિખારી જેવા લાગતા માણસે એનું પર્સ ઉપાડી લીધું અને મંદિરના ઓટલે જઈને ખાવાનું મેળવવા માટે પર્સ ફંફોસવા લાગ્યો. હેપ્પીના સાથીદારની નજર એના પર પડી અને હેપ્પીને જાણ કરી અને બધાએ એ ભિખારીને ઘેરી લીધો. હેપ્પીએ પર્સ તપાસ્યું. બીજું બધું અકબંધ હતું. પર્સમાંથી નીચે પડેલા કાગળિયા અને ફોટોગ્રાફ લેવા જતાં હેપ્પીની નજર એક ફોટા પર પડી અને એની આંખમાં ચમકારો થયો.
પેલા ભિખારીના ચહેરાને ધ્યાનથી જોયો. થોડી ક્ષણો માટે એ વિચારમાં પડી ગઈ.
“વૉટ હૅપન હેપ્પી?” એના જોડીદારે એને ઢંઢોળી.
“નથિંગ..” કહીને એણે પેલા ભિખારીને થોડું ખાવાનું આપીને મંદિરના પગથિયે બેસાડ્યો. પછી એના પિતાને ફોન જોડીને ગળગળા થઈને બસ એટલું જ બોલી, ” ડેડી.. યુ નો..આઈ રિયલી લવ યુ સો મચ..”
-
ઑનર કિલિંગ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
“અનુ” પપ્પાનો અવાજ સાંભળીને વાંચતી હતી એ પુસ્તક એક બાજુ મૂકીને હું સફાળી ઊભી થઈ ગઈ. પપ્પા મારા રૂમના દરવાજા પાસે ઊભા હતા.
“આજે સાંજે કેટલાક લોકો આપણાં ઘેર આવવાના છે. તારે પણ એમને મળવાનું છે. કોઈ વાત થાય તો એમ કહેજે કે તું અહીં એમ.બી.એ. કરવા રોકાઈ છું.”
“મતલબ?”
“કેમ તને સીધી ભાષામાં સમજણ નથી પડતી કે હું રશિયનમાં બોલ્યો એવું લાગ્યું?” કહીને એ ત્વરાથી આવ્યા એવા જ પાછા ચાલ્યા ગયા. એ જે રીતે સીડીઓ ઉતરી રહ્યા એના પરથી એમનો ગુસ્સો સમજાઈ ગયો.
હું પાછી બેસી પડી. હું એમ.બી.એ કરું છું એ વાત સાચી, પણ એના માટે ભારત રોકાઈ છું એ વાત ખોટી હતી. પપ્પાના આ અર્ધસત્ય પાછળનું કારણ મને સમજાયું નહીં. એમના ઑફિસ જવા સુધી મારે રાહ જોવી પડી.
એમના ગયા પછી સીધી હું મમ્મી પાસે કિચનમાં ગઈ. પસીનાથી તરબતર મમ્મી કામમાં અટવાયેલી હતી. ચારે બર્નર પર રસોઈ થતી હતી.
“આજે કોઈ ખાસ મહેમાન આવવાના છે?” .
“અતુલના વિવાહની વાત લઈને જયપુરથી મહેમાન આવવાના છે.” મમ્મીએ મારા સવાલનો જવાબ આપતા કહ્યું.
“તૈયારી જોતાં લાગે છે કે મોટી પાર્ટી હોવી જોઈએ.”
મમ્મીએ માત્ર સ્મિત ફરકાવ્યું.
“પણ એ લોકોને મારા અભ્યાસમાં શું કામ રસ છે, ભાઈના ક્વૉલિફિકેશન પૂરતા નથી એમના માટે તે મારા એમ.બી.એ.ના અભ્યાસ માટેય જણાવવાનું પપ્પાએ કહ્યું?”
“પપ્પાએ કહ્યું છે તો એમ કરવું જ પડશે ને, એમનો સ્વભાવ તું ક્યાં નથી જાણતી?”
“પપ્પાની. દરેક સાચી-ખોટી વાત માનીને તેં જ બગાડયા છે.” મારી અકળામણ ઠલવાઈ ગઈ.
“આ જ એક બાકી હતું. છોકરાઓ ખોટું કરે તો મારી જવાબદારી. પપ્પા ખોટું કરે તો પણ મારે સાંભળવાનું. બધાએ ભેગા મળીને બલિનો બકરો માની લીધો છે મને. અહીંથી જા હવે. મને મારું કામ કરવા દે.” મા પણ અકળાઈ.
******
સાંજે બે વિદેશી શાનદાર ગાડીઓ, યુનિફોર્મધારી શૉફર સાથે મહેમાનોની સવારી પધારી. જોઈને જ લાગ્યું કે સાચે જ મોટી પાર્ટી હશે.. એક વાત સમજાતી હતી કે આઈ.એ.એસ. જમાઈની લાલચ એમને અહીં સુધી ખેંચી લાવી હતી. પપ્પા પણ સચિવાયમાં ઉચ્ચ હોદ્દા પર હતા.
મહેમાનો સાથે મારો પરિચય પણ કરાવ્યો. એમ.બી.એ કરે છે. હંમેશાં ટોપર રહી છે. એને પણ અતુલની જેમ આઈ.એ.એસ. ઑફિસર બનવું છે. જમાઈ લંડન છે. વગેરે વગેરે..
હું બોખલાઈને ચૂપ રહી. એમનાં જતાંની સાથે પપ્પાનો ગુસ્સો ફાટ્યો.
“કેમ મોંમાં મગ ભર્યા હતા, બે વાત પણ સરખી રીતે નથી કરી શકતી, કોણે તને ટૉપર કહેશે?”
“પણ મારા અભ્યાસમાં લંડનવાળાને વચ્ચે લાવવાની ક્યાં જરૂર હતી?”
“કેમ, જમાઈ નથી એ?”
“જમાઈ, હવે ક્યાં…?’
‘ચૂપ, બધી વાત પહેલી મુલાકાતમાં જ કહેવાની? પછી તો છોકરીવાળા શું વિચારશે, એ વિચાર્યું?”
હવે તો રડવાનું જ બાકી હતું અને મમ્મીએ વાત સંભાળી લીધી.
“જરા ધીરજથી તો કામ લો. હમણાં તો એ આપત્તિમાંથી માંડ સ્વસ્થ થઈ છે.”
“હા તો? એ તો બહાર આવી પણ હું આપત્તિઓમાં હજુ ઘેરાયેલો રહ્યો એનું શું? એની પાછળ મારા તો પંદર લાખ રૂપિયાનું આંધણ થઈ ગયું ને?”
પપ્પાની વાત સાંભળીને મારું મન ભારે અપરાધના ભાવથી ભરાઈ આવ્યું. આજ સુધી હું માત્ર મારા દુઃખને રડતી રહી. પપ્પા માટે તો મેં ક્યારેય વિચાર્યું જ નહીં. મારા લગ્નની ધામધૂમ અને પહેરામણી પાછળ પપ્પાના બજેટમાં મોટું ગાબડું પડ્યું એનો તો મને અછડતો ય વિચાર આવ્યો નહોતો.
ખેર મારા મોંમાં મગ ભરેલા હોવા છતાં અતુલની સગાઈ નક્કી થઈ ગઈ. છોકરી જોવા મારા સિવાય ત્રણે જયપુર ગયાં હતાં. જયપુરમાં લગ્ન અને અહીં રિંગ સેરેમની, ડિનર અને એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ. બધું જ આલા ગ્રાન્ડ યોજવાનું પ્લાનિંગ ચાલ્યું.
અતુલના લગ્નની કંકોતરી લખવાની જવાબદારી મેં લઈ લીધી. લિસ્ટ ચેક કરતી હતી અને એક નામ જોઈને હું ચોંકી ગઈ.
“પપ્પા, આ લોકોને પણ બોલાવાના છે, કેમ?”
“કેમ શું? એ વેવાઈ છે મારા. દીકરાના લગ્નમાં દીકરીનાં સાસરિયાં ન હોય તો મારે સો સવાલોના જવાબ આપવા પડે અને હજુ ક્યાં ડિવોર્સ લીધાં છે. તારા વાંકે મારે અતુલના લગ્નમાં કોઈ બખેડા નથી જોઈતા. બસ, કહી દીધું” પપ્પા ઊભા થઈ ગયા.
મારો વાંક? અરે પપ્પા આ શું બોલી ગયા? મમ્મી તો મારી અથથીઇતિની કથા જાણે છે. એણે પપ્પાને કંઈ કહ્યું નહીં હોય? કેવા રૌરવ નર્કમાં મેં એક આખો મહિનો પસાર કર્યો છે એ પછી પણ મારો વાંક?” હું આઘાતથી સ્તબ્ધ બની ગઈ. અને ડિવોર્સ નથી લીધાં કે પપ્પાએ લેવા નથી દીધાં? કદાચ ડિવોર્સી છોકરી ઘરમાં છે એવા વિચારે અતુલને કન્યા શોધવાનું અઘરું પડે એટલે જ પપ્પાએ ડિવોર્સ નથી લેવા દીધા.
*****
વળી મન ચકડોળે ચઢ્યું.
લગ્ન…! પ્રશાંત સાથેના મારા એ લગ્નને લગ્ન કહેવાય કે કેમ?
પ્રશાંત લંડનથી લગ્ન કરવા આવ્યા ત્યારે એમના ચહેરા પર જરાય ઉત્સાહ નહોતો. લગ્ન પછીના ચોથા દિવસે જ અમે લંડન જવા નીકળ્યાં. ફ્લાઇટમાં પણ સાવ ઉપરછલ્લી વાતો થઈ. નવદંપતિ જેવી કોઈ ઉષ્માભરી એ સફર નહોતી.
લંડન જઈને ખબર પડી કે પ્રશાંત તો કોઈ ગ્લોરિયા નામની ગોરી સાથે ત્રણ વર્ષથી જોડાયેલા હતા. લગ્ન તો માત્ર માતા-પિતાની ઇચ્છાપૂર્તિ માટે કર્યા હતા. એ રાત મારી સૌથી ખરાબ રાત હતી. બીજા દિવસે પ્રશાંત અને ગ્લોરિયાના ગયા પછી મમ્મી સાથે વાત કરતા હું સાવ ભાંગી પડી હતી. મમ્મી મને ધીરજ રાખવાનું કહેતી હતી. મેં એક મહિનો ધીરજ રાખી, પણ એ પ્રત્યેક દિવસ મારો કેવો જતો એનાથી મમ્મી અજાણ નહોતી. એક મહિનો માંડ પૂરો કરીને પાછી આવી. મમ્મી-પપ્પા મને ઉમળકાથી આવકારશે એવી તો કોઈ અપેક્ષા નહોતી પણ સહાનુભૂતિ કે આશ્વાસનની અપેક્ષા તો હતી જ.
પણ એવું કશું જ ન બન્યું. હું ઘરમાં તો આવી પણ સાવ અણગમતી મહેમાન બનીને રહી.
એક મિનિટમાં આ આખો સમય નજર સામે તરી આવ્યો.
“અને હા સાંભળ..” મારી વિચારધારા તૂટી. પપ્પા હજુ કશું કહેતા હતા.
“તારા સાસરે કંકોતરી આપવા તું જઈશ અને પ્રશાંતના મમ્મીને પગે પડીને લગ્નમાં આવવા વિનવીશ. કાલે હું ઑફિસ લઈને કાર પાછી મોકલીશ. મોહન સાથે તું તારા સાસરે જઈશ. અને આ ફાઇનલ છે.” કહીને પપ્પા તો ચાલ્યા ગયા.
પ્રશાંતના મમ્મીને મળવા જવાના વિચારે મને આખી રાત ઊંઘ ન આવી. એક વાર એ અહીં આવ્યા હતાં ત્યારે મેં જ એમને ફરી આ ઘરનો ઉંબરો ચઢવાની ના પાડી હતી એ વાત પપ્પા સુધી પહોંચી હતી. અને હવે એટલે જ મારે જ એમને આમંત્રણ આપવા જવું એવું પપ્પાનું ફરમાન હતું. મારા માટે આ સ્વમાનભંગ હતું પણ પપ્પાને એ કેવી રીતે કહું?
આખી રાત આત્મહત્યાના કેટલાય વિચારો આવ્યા. પંખા પર લટકીને મરું? અગાશી પર જઈને કૂદકો મારું? સ્ટોરરૂમમાં જઈને ઉંદર મારવાની ગોળીઓ એક સામટી પાણી સાથે પેટમાં ઉતારી દઉં કે પછી બળીને મરું? પણ બળીને મરી ગઈ તો ઠીક નહીં તો એ ભયાનક ચહેરો લઈને ક્યાં જઈશ, જો જીવી ગઈ તો એ જીવન મોતથી પણ બદતર હશે.
ના.. ના…, એનાં કરતાં કાલે મોહન સાથે પ્રશાંતના ઘેર જતાં રસ્તામાં તળાવ પાસેથી પસાર થતાં ગાડી ઊભી રખાવીને પાણીમાં કૂદી મરીશ. અથવા કોઈ ટ્રાફિક સિગ્નલ પર કાર ઊભી રહેશે ત્યારે ગાડીમાંથી ઉતરીને કોઈ ધસમસતી કાર કે ટ્રેન સામે પડતું જ મૂકીશ.
પણ એમ કરવામાં મોહનની નોકરી જોખમાય અને છોકરીઓનું મરવું ય ક્યાં સરળ છે! લોકો કંઈ કેટલાય અર્થના અનર્થ કરશે. અને વળી મારા આ કારનામાથી ભાઈના લગ્નમાં ભંગાણ પડ્યું તો! મમ્મી પપ્પા જીવશે ત્યાં સુધી મને માફ નહીં કરે.
લંડન પહોંચ્યા પછી પ્રશાંત અને ગ્લોરિયાને જોઈને હું હતપ્રભ થઈ ગઈ હતી. એક નાનકડા રૂમમાં મારો સામાન મૂકીને પ્રશાંત બહાર નીકળી ગયા પછી એક ક્ષણમાં મારી દુનિયા ભસ્મ થઈ ગઈ હતી. ભેંકાર, અંધકારભર્યા જીવનના વિચારે હું આજની જેમ એ રાત્રે ઊંઘી શકી નહોતી. એ અજાણ્યા શહેરમાં હું સાવ એકલી, નિઃસહાય હતી. છતાં એક વાર પણ મને આત્મહત્યાનો વિચાર આવ્યો નહોતો. મારી આંખ સામે મમ્મી પપ્પાના ચહેરા દેખાતા હતા. આ નાલાયક માણસ માટે થઈને હું મારાં મા-બાપને દુઃખી શા માટે કરું? અને આજે મમ્મી-પપ્પાના કારણે જ હું આત્મહત્યાના ઉપાયો શોધી રહી હતી. પપ્પાના ઘરમાં રહીને એમની સામે બંડ કરી શકું એમ તો નહોતી તો મરવા સિવાય બીજો કોઈ ઉપાય ક્યાં હતો?
છેવટે ઊભી થઈને શાવરમાં ચાલી ગઈ. ક્યાંય સુધી શરીર પર પાણીની ધારા ઝીલતી રહી. અંતે જ્યારે શાવરમાંથી બહાર આવી ત્યારે મન હળવું થતાં એક નવો જ વિચાર આવ્યો.
આત્મહત્યા એટલે શું? આત્માનું હનન જ ને! પ્રશાંતની મમ્મીના પગે પડીને ક્ષમા માંગવાનું એ આત્મહત્યાથી ક્યાં કમ છે?
હવે મને કોઈ એ કહેશો કે એને શું કહેવાય, હત્યા કે આત્મહત્યા?
માલતી જોશી લિખિત વાર્તા ‘ઑનર કિલિંગ’ને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ફિલ્મી ગઝલો – ૩૬ . નિદા ફાઝલી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
મુક્તદા હસન નિદા ફાઝલી મૂલત: વિશુદ્ધ ઉર્દૂ સાહિત્ય અને મુશાયરાઓના શાયર હતા. રોજી-રોટીના ચક્કરમાં મજબૂરન ફિલ્મોમાં આવ્યા. જો કે એ દુનિયાના બીબાંમાં પૂરેપૂરા ક્યારેય ઢળી ન શક્યા.
જગજીત – ચિત્રાએ ગાયેલી એમની ગઝલ ‘ દુનિયા જિસે કહતે હૈં જાદૂ કા ખિલૌના હૈ ‘ કયા ગઝલ-પ્રેમીએ નહીં સાંભળી હોય ? અને ‘ આપ તો ઐસે ન થે ‘ ફિલ્મનું ગીત ‘ તૂ ઈસ તરહ સે મેરી ઝિંદગી મેં શામિલ હૈ ‘ પણ ખાસ્સું લોકપ્રિય અને સંવેદન – સભર.પ્રકૃતિએ ગઝલકાર એટલે ફિલ્મોમાં પણ ઘણી ગઝલ લખી. અહીં આપેલી બીજી ગઝલ ( ફિલ્મ : રઝિયા સુલતાન ) સહિત બે ગીત એ ફિલ્મમાં લખવાનો અવસર એમને કેવળ એ કારણે મળ્યો કે ફિલ્મના મૂળ ગીતકાર જાન્નિસ્સાર અખ્તર ફિલ્મના નિર્માણ દરમિયાન જ અવસાન પામ્યા !
આ બીજી ગઝલના ગાયક કબ્બન મિર્ઝા સિત્તેરના દશક દરમિયાન વિવિધ ભારતીના લોકપ્રિય કાર્યક્રમ ‘ છાયા ગીત ‘ માં ઉદ્ઘોષક તરીકે એમના ઘેઘૂર અવાજ દ્વારા શ્રોતાઓ પર છવાયેલા રહ્યા. એમનો સ્વર ગજબનો ખરજદાર અને અનોખો હતો પણ ‘ રઝિયા સુલતાન ‘ ના બે ગીત સહિત (બીજું એટલે ‘ આઈ ઝંજીર કી ઝનકાર ખુદા ખૈર કરે ‘ ) માત્ર ત્રણ જ ગીતો ફિલ્મોમાં ગાયા અને પછી ગળાના કેંસરને કારણે પોતાનો અવાજ ગુમાવી બેઠા.
નિદા સાહેબની બે ગઝલો જોઈએ :
કભી કિસીકો મુકમ્મલ જહાં નહીં મિલતા
કહીં ઝમીં તો કહીં આસમાં નહીં મિલતાજિસે ભી દેખિયે વો અપને આપ મેં ગુમ હૈ
ઝુબાં મિલી હૈ મગર હમઝુબાં નહીં મિલતાબુઝા સકા હૈ ભલા કૌન વક્ત કે શોલે
યે ઐસી આગ હૈ જિસ મેં ધુંઆં નહીં મિલતાતેરે જહાન મેં ઐસા નહીં કે પ્યાર ન હો
જહાં ઉમ્મીદ હો ઈસકી વહાં નહીં મિલતા..– ફિલ્મ : આહિસ્તા આહિસ્તા ૧૯૮૧
– ભૂપેન્દ્ર / આશા
– ખૈયામતેરા હિજ્ર મેરા નસીબ હૈ, તેરા ગમ હી મેરી હયાત હૈ
મુજે તેરી દૂરી કા ગમ હો ક્યોં, તૂ કહી ભી હો મેરે સાથ હૈમેરે વાસ્તે તેરે નામ પર, કોઈ હર્ફ આએ નહીં નહીં
મુજે ખૌફે દુનિયા નહીં મગર, મેરે રૂ-બ-રૂ તેરી જાત હૈતેરા ઈશ્ક મુજ પે હૈ મેહરબાં, મેરે દિલ કો હાસિલ હૈં દો જહાં
મેરી જાને જાં ઈસી બાત પર, મેરી જાન જાએ તો બાત હૈતેરા વસ્લ ઐ મેરી દિલરુબા, નહીં મેરી કિસ્મત તો ક્યા હુઆ
મેરી મહઝબીં યહી કમ હૈ ક્યા, તેરી હસરતોં કા તો સાથ હૈ ..– ફિલ્મ : રઝિયા સુલતાન ૧૯૮૩
– કબ્બન મિર્ઝા
– ખૈયામ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
મહેન્દ્ર શાહનાં જાન્યુઆરી ૨૦૨૪નાં સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra’s creations for Jan 2024
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
આજની સગવડ, કાલની નિષ્ફળતા
નવી લેખમાળાના પ્રારંભે
પ્રોગ્રામિંગના વ્યવસાયથી શરૂ થયેલી શ્રી ઉત્પલ વૈશ્નવની કારકિર્દી પ્રોજેક્ટ મૅનેજમૅન્ટ સુધી વિકસતી રહી. ત્યાર બાદ તેઓએ પોતાનાં કૌશલ્યનું સુકાન સોફ્ટવેર ઉદ્યોગમાં નવાં સાહસ ચાલુ કરવામાં અને એંજલ ઈન્વેસ્ટમેન્ટનાં ક્ષેત્ર તરફ વાળ્યું. ૨૦૧૨થી તેમણે Upsquare® Technologiesની સ્થાપના કરી. આ બધી વ્યવસાયિક વ્યસ્તતા સાથે ઉત્પલ વૈશ્નવ પોતાના આ અનુભવોમાંથી તારવીને બધાંને ઉપયોગી થાય એવી વાતો વિશે લખવાનો શોખ પણ ધરાવે છે. તેઓ સક્રિય બ્લૉગ્ગર તો છે જ. તે સાથે તેમણે ઘણાં વર્ષો સુધી તેમણે Self Help Zen શીર્ષક હેઠળ સ્વવિકાસ સંબધિત લેખો પણ લખતા રહ્યા. હવે #DhandheKaFunda શીર્ષક હેઠળ તેઓ નવાં ઉદ્યોગ-સાહસના પ્રારંભના તેમના અનુભવોમાંથી તેમણે તારવેલા બોધપાઠો વિષે લખે છે.
સંપાદક મંડળ , વેબ ગુર્જરી
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
સાચી બનેલી આ વાત મારી ટીમના સભ્ય મનિષની છે. એક સમય હતો જ્યારે એક સોફ્ટવેર ડેવલેપમેન્ટ કંપનીમાં છૂટક ફ્રીલાન્સ કામ કરવા માટે મને પ્રોજેક્ટ મેનેજર તરીકે મળતા પગાર કરતાં તેને વધારે આવક થતી હતી. પ્રમાણમાં ઓછો સમય કામ કરવું અને છતાં વધારે આવક મળતી હોવાથી તેની જીંદગી મજામાં વીતવા લાગી. થોડાં વર્ષો બાદ તેના આ નિર્ણયનાં અવળાં પરિણામો દેખાવા લાગ્યાં.
આજનો વિષય આવા નિર્ણયો બાબતે છે જે તમારી હસતી રમતી જીંદગીને જોતજોતામાં ખુદાબક્ષ મુસાફરોની કક્ષામાં ધકેલી દઈ શકે છે.
જાન્યુઆરીમાં શિકાગોના ઑ’હૅર એરપોર્ટ પર, ત્રણ મહિનાથી એરપોર્ટ પર જ રહેતા હોવાનું જણાવાથી, ૩૯ વર્ષના આદિત્ય સિંઘની ધરપકડ કરવામાં આવી.
જોકે આજની વાત આ આદિત્ય સિંધ વિશે નહીં પણ મારી સાથે મનિષની છે. ૧૪ વર્ષ પહેલાં, એક સોફ્ટવેર ડેવલેપમેંટ ટીમમાં મનિષ મારી સાથે કામ કરતો હતો.⌛️
હું પ્રોજેક્ટ મૅનેજર હતો અને મનિષ સોફ્ટવેર એન્જિનિયર હતો. એ સમયે મનિષે લીધેલા નિર્ણયનો સંબંધ શિકાગો એરપોર્ટ પર ધરપકડવાળી ઘટના સાથે છે !
એ સમયે મનિષનો માસિક પગાર $ ૧૦૦૦ હતો અને મારો માસિક પગાર $ ૧૫૦૦ હતો.
મનિષને લાંબા ગાળાના કરાર હેઠળ, ફ્રીંલાસ તરીકે છ્ટક કામોના હિસાબે મહિને $ ૨૦૦૦ મળવાના હતા, તેથી તેણે નોકરી છોડી દીધી.🏃♂️
મેં જોકે એને સુચવ્યું હતું કે ,‘ ટીમમાં બીજં એક્બે સભ્યો ઉમેર, અને નવા પ્રોજેક્ટ્સ શોધવા લાગ.”🤞
જોકે એ સમયના મારા કરતાં વધારે પગારને કારણે એ તો $૨૦૦૦ ની માસિક આવકથી એ તો અતિઉત્સાહિત હતો.
પહેલાં પહેલાં તો બધું સારૂં ચાલ્યું. તેની માસિક આવક પણ વધી હતી.
મહિને $૨૫૦૦ સુધીની આવક સુધી તે બે વર્ષમાં પહોંચી ગયો. મનિષને લાગ્યું કે હવે તેને સફળતાની કેડી મળી ગઈ છે. પોતાની જીવનશૈલીનું સ્તર તેણે સુધાર્યું, વેકેશન લઈને પરદેશની બેત્રણ સફરો પણ કરી. ✈️ 🏝
એ સમયમાં મારા વર્તમાન કામમાં મારું શય એટલું શ્રેષ્ઠ યોગદાન આપવાની સાથે મારાં કૌશલ્યોને સુધારવામાં અને વિકસાવવા પ્રત્યે ધ્યાન આપ્યું. સમય જતાં, મે મારૂં પોતાનું નવું ઔદ્યોગિક એક્મ શરૂ કર્યું, અને તેને બરાબર ચલ્લાવ્યું. 📲
(મારૂં પહેલું સાહસ તો નિષ્ફળ નીવડ્યું હતું, પણ મારે તો જીવનનની સફળતા માટે નવાં સાહસની સફળતા પર જ ખીલો ઠોકીને રહેવું હતું. પણ, એ વળી અલગ જ વિષય છે. તેના વિશે, યોગ્ય સમાયે, વાત કરીશું. 🤫)
આખરે, એક દિવસે, સાદિત્ય સિંઘની ધરપક્ડ જેવો, ઝાટકો વાગ્યો. મનિષ જે કંપની માટે કામ કરતો હતો તે બીજી કંપનીએ ખરીદી લીધી. નવી કંપનીને હવે મનિષનાં હાલનાં કૌશલ્યની જરૂર નહોતી.
ચઃટક કામ કરતાં કરતાં મનિષે પોતાનાં કૌશલ્યોનો કિલ્લો મજબૂત કરવા પાછળ કોઈ રોકાણ નહોતું કર્યું.
મનિષને એમ હતું કે ફ્રિલાંસ કામ કરીને એ વધારે કમાતો રહી શકશે. પણ એમ થઈ ન શક્યું. કારણ બહુ સીધું હતું – મનિષને જે ‘કામ’ સોંપવામાં આવે તે કરવામાં તે માહેર હતો, પણ લોકોએ તે નવા નવા પ્રકારનાં કામો પોતાની તરફ ‘ખેંચી ‘ લાવીને આવકની નવી સરવાણીઓ નહોતો વિકસાવી રહ્યો. એની જિંદગી બીજાં લોકોન જરૂરિયાતો પર નિર્ભર બની ગઈ હતી 🙃
ક્ષણિક સગવડોનાં કોચલાંમાં બંધ થઈને બેસી રહેવું ભવિષ માટે મોટું જોખમ નોતરી શકે છે.
વર્તમાન જીવન ગમે તેટલી આરામદાયક રીતે વીતતું હોય, પણ સતત પ્રતિભાવો મેળવતા રહેવું અને નવું નવું શીખતાં રહેવું જેવી અસગવડોને તો આવકારવી જ રહી.
તમારાં કૌશલ્યોને વિના દયા ભાવે ચકાસણીને ચાકડે ચડાવતાં રહો. તમારી, અને તમારાં કુટુંબની, સુખ સગવડ ભવિષ્યનો પાયાનૂં ઘડતર પડકારોને ખમી શકે એવાં તમારાં કૌશલ્યો પર કરો. ટુંકા ગાળાની આરામની જીંદગીના મોહપાશમાં તમારાં વર્તમાનને વ્યસ્ત ન થઈ જાય એ માટે વિશેષ સચેત બનો.
હવે એરપોર્ટ પર ધરપકડનો સંદર્ભ સાંકળીએ.
એરપોર્ટ એક જ્ગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આવનજાવન માટેનું માધ્યમ છે. પણ કેટલાંક લોકો ત્યાં ધામા નાખીને….લાંબા સમય સુધી રહી પડે છે. ત્યાં મળતી રહેવાની સગવડો, ખાવાપીવાનું વગેરેને એ લોકો કાયમી આશ્રયસ્થાન બનાવી બેસે છે.
ગમે તેટલું વધારે સગવડો ધરાવતું હોય પણ આવનજાવન માટે જ બનતી કોઈ પણ વ્યવસ્થા એ આપણું ઘર ન બની શકે. ત્યાં ડેરા નાખીને રહી ન પડાય. મુસાફરીનું લક્ષ્ય નિર્ધારિત ગંતવ્યો સુધી પહોંચવાનું છે અને એ માટે આવનજાવનને કાર્યક્ષમ રીતે શક્ય બનાવવા માટે રચાતાં સ્થાનકોને અને પરિવહનના વિકલ્પો શોધવાં, તેનો બરાબર ઉપયોગ કરી શકવો વગેરે એ બધી જરૂરી આવડતો છે.
ફ્રીલાંસ રાહે મળતાં છૂટક કામ કાયમી ન હોઈ શકે. એ સમયે આકર્ષક લાગતાં આવાં છૂટક કામ એ તો ઝાંઝવાનાં જળ સમાન છે. કાયમની તરસ એ છીપાવી ન શકે એ માટે તો નવાં નવાં ગ્રાહકો શોધવાં, તેમની સાથે અસરકારક સંવાદનો સેતું બનાવ્યે રાખવો, તેમને વધારે એને વધારે મૂલ્ય મળતું રહે તેમ તેમની જરૂરિયાતો અને આવશકતાઓ પુરી કરવી અને એ માટે પોષણક્ષમ વળતર મેળવવું એ મીઠાં પાણીની વીરડી ખોદવા જેવું – મુશ્કેલ પણ કાયમી ઉપાયનું- કામ છે. એ માટેની આવડતો વિકસાવતાં રહેવું એ જ ખરી સફર છે.
તા. ક.: અહીં ‘ફ્રીલાંસ‘ અર્થ માત્ર છૂટક કામ કરતી વ્યક્તિઓ પુરતો જ મર્યાદિત નથી.; કેટલી એજંસીઓ પણ ફ્રિંલાંસ કામના વ્યવસાયમાં હોય છે. જે વવ્યવસાયને પોતાની આવક અને નફો રળવા માટે નવા નવા ગ્રાહકોનો સતત આવરો જોઇએ એ ‘ફ્રીલાંસ‘ વ્યવસ્યાઓ જ છે.!
નોંધઃ
- ‘મનિષ’ બદલાવેલું નામ છે
- મનિષ બાહોશ તો હતો જ. એણે આગળ જતાં પોતાની જીંદગી સવારી લીધી, પણ એ પહેલાં ભુતકાળના નિર્ણયોની કિંમત તો એણે ચુકાવવી જ પડી.
- “How some people can end up living at airports for months – even years – at a time” વિશે વધારે theconversation.com, પર વાંચી શકાય છે.
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
સતત એકસૂત્રમાં સંકળાયેલાં રહેવા અને નવું નવું શીખતાં રહેવા માટેની શાસ્ત્રોક્તવિધિઓ સમાન પ્રક્રિયાઓ
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
જ્યારે આપણે મોટા પાયા પ્રોજેક્ટ્સના અમલીકરણ, ચીજવસ્તુઓ, સેવાઓ કે સોફ્ટવેર એપ્લીકેશનોના સમયે સમયે નક્કી કરેલ અંશોને ગ્રાહકને લાંબા ગાળાની દૃષ્ટિએ પહોચાડવાની કે જટિલ પરિવર્તન પહેલ પર કામ કરી રહ્યાં હોઈએ છીએ – ત્યારે આપણાંએ કામોને, વ્યવસ્થિતપણે, નાના ભાગોમાં વહેંચી નાખીએ છીએ. ટેક્નોલોજિના યુવા ઉત્સાહઘેલાઓ આ તકનીકને “મોડ્યુલરાઇઝેશન” તરીકે ઓળખે છે. આ નાનાં નાનાં કામોને ઉદ્દેશ્ય હાંસલ કરવાનાં જૂદા જૂદા તબક્કાનાં લક્ષ્યો મટેનાં સમયપત્રકનાં પૂર્વનિશ્ચિત સીમાચિહ્નો સાથે સાંકળી ળેવામાં આવે છે.
આવી પરિયોજનાઓની શરૂઆત મહા-આયોજન સાથે થાય છે અને પછી આપણે અમલીકરણનાં કામો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. ટીમના તમામ સભ્યો પોતપોતાની ભૂમિકા અનુસારનો તેમનો ભાગ ભજવતાં રહે છે. પરંતુ અચુકપણે જોવા મળે છે કે આ પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક, આપણે પહેલમાં સમગ્રતઃ ચિત્ર સાથે જોડાણ ગુમાવીએ છીએ. લોકો કાર્યોમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ સમગ્ર ચિત્ર સાથેના સંદર્ભમાં, તેમની ભુમિકા અનુસારનું કામ એકંદર ઉદ્દેશ્યમાં કેવી રીતે ફાળો આપે છે તે સાંકળતા રહેવાનૂં ચૂકી જાય છે,
શું તમે એવી પરિસ્થિતિઓ જોઈ છે કે જ્યાં તમે બધાં લક્ષ્યોને પુરા કરવા છતાં પણ સમગ્ર પહેલનું ખરૂં ઇચ્છિત ધ્યેય પૂર્ણ નથી કરી શકતાં? મને ખાતરી છે કે એવી પરિસ્થિતિ તમે પણ અનુભવી જ હશે!
આવી પરિસ્થિતિઓથી દૂર રહેવામાં શાસ્ત્રોક્તવિધિઓ સમાન ત્રણ પ્રક્રિયાઓ મદદ કરી શકે છે:
કિકઓફ: પ્રોજેક્ટ એવી વ્યક્તિ સાથે શરૂ થાય જે કામના “શા માટે” ભાગને બરાબર સમજે છે. કિકઓફ આવી સમજણને ટીમના તમામ સભ્યોને પણ સમજાવવાની તક છે. જ્યાં સુધી દરેક વ્યક્તિ હેતુને સ્પષ્ટ રીતે સમજી શકશે નહીં, ત્યાં સુધી તે પોતાનું સમગ્ર યોગદાન કરી શકવા માટે સક્ષમ બની ન શકે.
સમીક્ષાઓ: દરેકને ધ્યેય સાથે સમ્ગ્ર ચિત્રનાં ઉદ્દેશ્ય સાથે એકસૂત્રમાં આંકળી રાખવા માટે સમીક્ષાઓનો ઉપયોગ શાત્રોક્ત વિધિઓની પવિત્રતા જાળવવાની જેમ જ થવો જોઈએ. મોટાભાગના લોકો સમીક્ષાઓ દરમિયાન કાર્યોની પ્રગતિની જાણ કરે છે. તેમની ક્રિયાઓ પરિણામ સિદ્ધિનાં કારણને કેવી રીતે મદદ કરી રહી છે અને તેઓ શું મૂલ્ય ઉમેરી રહ્યા છે તેની પણ તેમને જાણ કરવા દો. સમીક્ષા વહેલાં વહેલી તકે કરો અને નિયમિત સમયસર, વારંવાર, સમીક્ષા કરો.
પૂર્વાવલોકન: આ છેલ્લો તબક્કો છે જે નિશ્ચિત કરે છે કે એક ટીમ તરીકેની તમામ સમજણ એકીકૃત થાય, દસ્તાવેજીકરણ થાય અને ભાવિ સોંપણીઓના અમલમાં મુકાય.
સતત શીખતી રહેતી સંસ્થાઓ, સતત શીખતી રહેતી ટીમો (અને વ્યક્તિઓ)થી બને છે. ઉપરોક્ત ત્રણ વિધિઓ કમસે કમ એટલું તો સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિ,ટીમ અને સમગ્ર સંસ્થા સમગ્ર ચિત્રનાં તેમને લગતાં ધ્યેયો સાથે એકસૂત્રમાં સંકળાઈ રહેવા માટેની તેમની વ્યક્તિગત તેમજ સામૂહિક ક્ષમતામાં વધારો કરતાં રહે..
સતત શીખતી રહેતી સંસ્થાનાં ઘડતર અંગેના કેટલાક વિચારો તેમ જ જ્યારે આવું થાય છે, ત્યારે શી રીતે ટીમો મૂલ્ય ઉમેરવાનું શરૂ કરે છે, સતત શીખે છે અને સતત સુધારો કરે છે એ અંગે હવે પછીના મણકાઓમાં વાત કરીશું.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
