-
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક છઠ્ઠો: પ્રવેશ ૧

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક ચોથો: પ્રવેશ ૫ થી આગળ
સ્થળ : રંગિણી નદીનો કિનારો.
[ જગદીપ નદીતટે શિલાપર બેઠેલો પ્રવેશ કરે છે. ]
જગદીપ : આ રમણીય સ્થળ આટલું પાસે છતાં અહીં હું કદી આવ્યો જ નથી, એ કેવું નવાઈ જેવું ! કિસલવાડી અને કનકપુર વચ્ચે હું બહુ ફર્યો છું, અને આખું કનકપુર ફરી વળ્યો છું. પણ, કનકપુર મૂકીને ઉત્તરે આ પહેલાં હું કદી આવ્યો જ નથી, એ કેવું ! પણ આઘે નદી બાગમાં થઈને જાય છે, અને, બાગમાં અગાડી મોટું મકાન દેખાય છે, તોપણ શીતલસિંહ મને આ તરફ કદી લાવ્યા નથી, અને એ મકાન વિશે મને તેમણે કાંઈ માહિતી આપી જ નથી ! હશે. પણ શીતલસિંહનું શું થશે ? હું એમને કે જાલકાને મળવા રહો હોત તો એમની બન્નેની ક્ષમા માગી શકત. ક્ષમા! અમારા ત્રણમાંથી ક્ષમા કોણે કોની માગવાની ! વળી હું રાતે બારોબાર નીકળી આવ્યો ન હોત તો મને આવી સ્વતંત્રતા ક્યાંથી મળત ! એ સ્વતંત્રતાના ઉપભોગમાં અરુણોદયથી કેવો ઉલ્લસ થાય છે.
(વસંતતિલકા)
ધિમે ધિમે સ્ફુરતું જે ગગને પ્રભાત
એકાત્મ તે શું થઈ આ પૃથિવી સમસ્ત!
જ્યાં ત્યાં પ્રભાત ફુટતું જલ વાયુ વૃક્ષે!
ફૂટે પ્રભાત વળિ પક્ષિનિ પાંખમાંથી ! ૬૫
અને મારામાંથી પણ પ્રભાત પ્રગટ થતું લાગે છે.[સંગીત સંભળાય છે.]
અહો ! ધ્વનિ શાનો સંભળાય છે? સંગીતનો સ્વર નદીના પટ ઉપર થઈને ચાલ્યો આવે છે. (દૃષ્ટિ લાંબે નાખીને) નદીમાં હોડી છે. તેમાં બે સ્ત્રીઓ છે: એક હંકારે છે અને એક સારંગીના વાદ્ય સાથે ગાય છે. કેવો મધુર કંઠ ! હોડી આ તરફ આવે છે. પણ નદી બાગમાંથી બહાર નીકળે છે ત્યાં નદીના પટ ઉપર ઝૂલતો ઝાંપો છે, એટાલે અહીં સુધી હોડી આવશે નહિ. હું અહીંજ બેસીને સાંભળું. આ ચંબેલીના છોડનો ઓથો છે, તેથી હું નજરે નહિ પડું.
[નદી પર તરતી હોડીમાં બેઠેલાં વીણાવતી અને લેખા આઘેથી આવતાં પ્રવેશ કરે છે. લેખા હોડી હંકારે છે અને વીણાવતી સારંગી વગાડી ગાય છે.]
વીણાવતી :
(ભૈરવી)
વિનવું, માર્ગ કરો ! વહે મુજ નાવ.
રોક નદી! તુજ પ્રતિકૂળ સ્રોત તું, આ નાવ સમાવ; વિનવું.
વાયુ ! ધસે જે વેગ તુજ સામો, નાવ કાજ તે હઠાવ; વિનવું.;
કાષ્ઠ ! તું તજ આ જડ ભાર તારો, નાવ હલકી બનાવ; વિનવું.
જાઓ છુટી સહુ સ્થૂલ મુજ બન્ધન, સૂક્ષ્મગતિ ! તું આવ; વિનવું.
સરલ પથ મન અભિલાષા… … … ૬૬જગદીપ : એકાએક સંગીત બંધ કેમ થયું ? (દ્રષ્ટિ કરીને) અરે ! પણે હોડી ડૂબે છે !(ઊભો થાય છે.)
[‘કોઈ આવજો વે’ એવે બૂમ સંભળાય છે.]
હું શી રીતે જઈ પહોંચું ? બાગની આસપાસ તો ઊંચો કોટ છે. હા! નદીના પટ પરનો ઝૂલતો ઝાંપો એક ઠેકાણે તૂટેલો છે ! નદીમાં થઈને એ રસ્તે જાઉં. પાણી ઊંડું આવશે ત્યાં તરીશ.
[નદીમાં પ્રવેશ કરીને ઉતાવળો જાય છે. હોડીમાં પાણી ભરાઈ જતાં હોડી ડૂબે છે, અને વીણાવતી અને લેખા પાણીમાં પડે છે. જગદીપ ત્યાં જઈ પહોંચે છે. લેખા તાણાઈને આઘે જાય છે. વીણાવતી પાણીમં નીચે જાય છે, જગદીપ વીણાવતીને ઊંચકી કિનારે લઈ આવે છે અને સુવાડે છે.]
એણે પાણી પીધું નથી. માત્ર ધ્રાસકાથી બેભાન થઈ ગઈ છે. બાઈ ! બાપુ ! જાગ્રત થાઓ! અહો ! કેવું અદ્ભુત લાવણ્ય!
(મન્દાક્રાન્તા)
અંગે અંગે પટ જલ તણું ઝીણું એને વિટાયું,
ધોળું કેવું ચકચક થતું કાન્તિથી તે છવાયું!
ચારે પાસે તૃણમય ધરા તેજ-સંક્રાન્તિ પામી
દીપે જાણે લિલમથિ જડી ભૂમિ પ્રાસાદમાંથી ૬૭અને, આ પણ કોઈ પ્રાસાદમાંની જ કોઈ લાવણ્યશ્રી છો. પણ, અરે, આ મૂર્છાગત થયેલી પરવશ સ્ત્રીના અંગનું નીરીક્ષણ કરવું એ યોગ્ય છે ? હું આડી દૃષ્ટિ રાખીને જ એને જગાડવા પ્રયન્ત કરીશ. (આડું જુએ છે) બાઈ ! ઊઠો! }}
[લેખા ભીને લૂગડે પ્રવેશ કરે છે.]
લેખા : હાય ! હાય ! કુંવરીબાનું શું થયું ?(જગદીપને જોઈને અટકીને) તમે કોણ છો ?
જગદીપ : હોડી ડૂબતી જોઈને હું મદદે દોડી આવ્યો છું અને આમને મેં પાણીમાંથી બહાર કાઢીને સુવાડ્યાં છે. જુઓ એ હાલ્યાં !
[લીલાવતી આંખ ઉઘાડે છે.]
વીણાવતી : લેખા ક્યાં છે?
લેખા : આ રહી. હું તમારી પાસે જ છું.
વીણાવતી : આપણે શી રીતે બચ્યાં ?
લેખા : હું તો વહેણમાં થોડું તણાઈને પછી કિનારા તરફ જતાં છોડવાં ને ઝાલીને બહાર નીકળી આવી. તમે તો હોડી આગળ જ ડુબ્યાં તે આમણે તમને બહાર કાઢ્યાં.
[વીણાવતી બેઠી થઈને જગદીપ તરફ જુએ છે અને પછી નીચું જુએ છે.]
વીણાવતી : લેખા ! હાલ તો આપણે અહીંથી જવું જોઈએ. આપણાં લૂગડાં ભીનાં છે. આપણા નોકરો આ આવી પહોંચ્યા.
[નોકરો પ્રવેશ કરે છે.]
લેખા : (નોકરોને) બા માટે પાલખી લઈ આવો.
[નોકરો જાય છે.]
લેખા : (જગદીપને) અમે આપનાં બહુ આભારી છીએ, પણ હવે આપ સિધાવો. આ ભૂમિમાં કોઈ પરાયાએ પેસવું નહિ એવી સખત આજ્ઞા છે.
વીણાવતી : લેખા ! એમ અસભ્ય થવાય ?
લેખા : ત્યારે શું એમને આપણે ત્યાં આવવાનું નિમંત્રણ કરું ?
વીણાવતી : એવી અમારી ઇચ્છા છે એમ મેં તને ક્યારે કહ્યું ?
જગદીપ : આ અકસ્માત બનાવથી આમેન્ કાંઈ અસ્વસ્થતા થઈ નથી, એ સમાચાર મને મળે તો હું ઉપકૃત થાઉં.
લેખા : એ કેવળ અશક્ય છે.
[નોકરો પાલખી લઈ પ્રવેશ કરે છે.]
લેખા : (વીણાવતીને) બા, ચાલો, આ પાલખીમાં બેસો. (જગદીપને) કોટમાં સામું દ્વાર છે તે આપને જવા માટે નોકર ઉઘાડી આપશે.
[વીણાવતી જગદીપ તરફ દૃષ્ટિ કરતી પાલખીમાં બેસે છે. પછી નોકરો પાલખી ઉપાડી જાય છે. સાથે લેખા જાય છે.]
જાગદીપ : (પાલખી પાછળ દૃષ્ટિ કરીને) કેટલી ઝડપથી પાલખી અદૃશ્ય થઈ ગઈ ! પણ, બીજા પાસેથી રત્ન ઝુંટવી લેનાર બીજાનું શું થયું તે જોવા ક્યારે ઊભું રહે છે?
(ચામર)
હોડિમાંથી રત્ન એ ઝુંટાવિ રંગિણી નદી,
ચાલિ ને લઈ પછાડિ હોડિ મૂકિ ડૂબતી;
રંગિણી કનેથિ ખેંચિ મેં ન જોયું તે ભણી,
મારિ વૃત્તિ તે ગણે શું જાય જે મને લુંટી? ૬૮.એવી લુંટાયાની અવસ્થામાં હું આવ્યો છું ? આજ હું એ કાંઇ નવો કજ ભાવ અનુભવું છું ! પેલું દ્વાર મારે માટે ઉઘડ્યું મારે જવું જ પડશે.
(વંશસ્થ)
ન જાણું મારું મુકિ જાઉં શું અહીં,
ન જાણું મારું લઇ જાઉં સાથ શું;
બહાર આવી ઉરવૃત્તિઓ બહુ,
સમેટિ જાણું નહિં તે હું આ ઘડી. ૬૯[દ્વારમાં થઈ કોટ બહાર જાય છે.]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
આ દર્પણનું સાચ / ચાલ્યાં જુઓ
જીતેન્દ્ર જોશી
અમથી અમથી તું ટીચે છે એના ઉપર ચાંચ
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.રોજ રોજ તું ભૂલી પડતી આ ખોટા સરનામે,
બિંબ જોઈને ઝૂર્યા કરતી તું દર્પણની સામે.
કોઈ નથી એ બીજું મ્હોરું, ખાલી છે આ કાચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.ડાળ ઉપરથી ચીંચીં કરતી, ઘૂમરાતી તું ઘેલી,
વ્યાકુળ થઈને ખખડાવે છે બંધ કરેલી ડેલી,
કોઈ નથી ખોવાયું તારું, ના કર અમથી જાંચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.ફરફર ફરફર ફરક્યાં કરતી તારી કોમલ પાંખો,
કોઈ નર્તકી જેમ નાચતી તારી બન્ને આંખો,
કોઈ નથી જોનારું અંદર, તારો સુંદર નાચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.ઝૂરી ઝૂરી થાકી ગ્યા છે, કૈંક અહીં છેવટમાં,
લોહી નીગળતી ચાંચ રહે છે, અંતે અહીં ફોગટમાં,
પથ્થર છે આ, નહીં આવે કંઈ, એને ઊની આંચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
મુકુલ ચોકસી
– ગઝલ –
બે’ક હંસો ચાંચ બોળીને ઊડી ચાલ્યા જુઓ,
ને સરોવરમાંથી જળ કેવાં ખૂટી ચાલ્યાં જુઓ.એકબીજામાં આ પડછાયા ભળી ચાલ્યા જુઓ,
ને આ જીવતા માણસો અળગાં રહી ચાલ્યા જુઓ.જે તૂટે તે લાકડા જેવુંય તરતા રહી શકે,
વહાણ આખેઆખાં તો પળમાં ડૂબી ચાલ્યાં જુઓ.રાહ જોતાં’તાં સદીથી એક મહેફિલની અમે,
ને મળી તો આમ અડધેથી ઊઠી ચાલ્યાં જુઓ.કોઇને ગમતાં નહોતાં તેઓ પણ આજે મુકુલ
અમથું અમથું એક અરીસાને ગમી ચાલ્યાં જુઓ. -
ફિલ્મી ગઝલો – ૫૦. પંડિત ઇન્દ્ર
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
વીતેલા જમાનાના પંડિત કહેવાતા અનેક ગીતકારોમાંના એક હતા પંડિત ઈન્દ્ર. આખું નામ પંડિત ઇન્દ્ર ચંદ્ર દધિચ. ( એમને યાદ કરતા યાદ આવે ૧૯૩૨ ની ફિલ્મ ‘ ઇન્દ્ર સભા ‘ જેમાં ૭૨ ગીતો હતા ! જો કે એમાં પંડિત ઈન્દ્ર ક્યાંય નહોતા. હા, એમણે એ જ અરસામાં ફિલ્મ પ્રવેશ કર્યો ખરો ! )૧૯૩૩ થી ૧૯૬૮ સુધી પંડિતજીએ ૧૨૮ ફિલ્મોમાં ૯૦૦ થી વધુ ગીતો લખ્યા. અમારી પેઢીના લોકોએ જ્યારે એમની ૧૯૬૦ ની ફિલ્મ ‘જમીન કે તારે ‘નું ગીત ‘ઓ મેરે પ્યારો ઝમીં કે તારો‘ સાંભળ્યું ત્યારે એમની કારકિર્દી લગભગ અસ્ત થઈ ચૂકી હતી.
કહેવાય છે, મુંબઈના અંધેરી વિસ્તારમાં ક્યાંક એમના નામનો કવિવર પંડિત ઈન્દ્ર માર્ગ પણ છે. બહરહાલ, એમની બે ખૂબસૂરત ફિલ્મી ગઝલો જોઈએ :
માના કે તુમ હસીન હો અહલે – શબાબ હો
ઇસકા તો કુછ જવાબ દો ક્યું લાજવાબ હોતુમ મેરે વર્ક – એ – ઝિંદગી કે પહેલે હર્ફ હો
કિસ્મત લિખી હૈ જિસમેં તુમ્હી વો કિતાબ હોપરવા નહીં ઝમાના કહે તુમકો સંગદિલ
મેરી નઝર મેં જાને – જહાં આફતાબ હોબનકે ગઝલ કે શેર તુમ આઓ ખયાલ મેં
મૈં હું ખૈયામ ઓર મેરી તુમ શરાબ હો..– ફિલ્મ : મૂર્તિ ૧૯૪૫
– મુકેશ
– બુલો સી રાની
( મુકેશ હજી ત્યારે કુંદનલાલ સાયગલની છાયામાં હતા. સાંભળી જુઓ ! )
જિસને જલાયા આશિયાં ઉસકો સલામ હો
જિસને ગિરાઈ બિજલીયાં ઉસકો સલામ હોદર્દ બન કે આયે ક્યોં આહ બનકે જાએ ક્યોં
જો લે રહા હૈ ઇમતેહાં ઉસકો સલામ હોબિછડા હૈ મુજસે બાગબાં અબ વો કહાં મૈં
કહાં લાયા બહાર મે ખિઝાં ઉસકો સલામ હોબખ્શી હમેં બરબાદીયાં દે ગયે નામુરાદિયાં
જિસને મિટા દિયા નિશાં ઉસકો સલામ હો..– ફિલ્મ : છીન લે આઝાદી – ૧૯૪૭
– શમશાદ બેગમ
– હંસરાજ બહલ
-
ફિલસુફીભર્યાં ગીતો – ૨૨ – भूलोगे तुम, भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा
નિરંજન મહેતા
૧૯૭૦ની ફિલ્મ ‘મેરા નામ જોકર’નુ આ અતિપ્રસિદ્ધ ગીત બહુ જ સુંદર રીતે જીવનની ફિલસુફી સમજાવે છે.
जीना यहाँ, मरना यहाँ
इसके सिवा जाना कहाँ
जीना यहाँ, मरना यहाँ
इसके सिवा जाना कहाँजी चाहे जब हमको आवाज़ दो
हम है वहीं, हम थे जहाँ
अपने यहीं दोनों जहाँ
इसके सिवा जाना कहाँये मेरा गीत, जीवन संगीत कल भी कोई दोहराएगा
ये मेरा गीत, जीवन संगीत कल भी कोई दोहराएगा
जग को हँसाने बहरूपिया रूप बदल फिर आएगास्वर्ग यहीं, नर्क यहाँ
इसके सिवा जाना कहाँजी चाहे जब हमको आवाज़ दो
हम है वहीं, हम थे जहाँ
अपने यहीं दोनों जहाँ
इसके सिवा जाना कहाँकल खेल में हम हो-ना-हो, गर्दिश में तारे रहेंगे सदा
कल खेल में हम हो-ना-हो, गर्दिश में तारे रहेंगे सदा
भूलोगे तुम, भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदाશૈલી શૈલેન્દ્રના શબ્દો છે જેને સંગીત આપ્યું છે શંકર જયકિસને અને સ્વર છે મુકેશનો.
એક કલાકારનુ જીવન ક્યા પ્રકારનું હોય છે તે અદાકાર રાજકપૂર આ ગીત દ્વારા જણાવે છે. ભલે તે કલાકારને લગતું હોય તો પણ તે આપણને સર્વેને પણ લાગુ પડે છે.
જેમ એક કલાકાર પોતાની જે કોઈ કારકિર્દી અપનાવે છે તેને અંત સુધી વળગી રહે છે તે જ રીતે આપણે પણ આપણા જીવનધ્યેયને વળગી રહેવું જોઈએ. કારણ આપણી પાસે કદાચ અન્ય કોઈ રાહ ન પણ હોય.
ગીતમાં આગળ જણાવ્યું છે કે તમે મને યાદ કરશો તો હું અહી જ છું. ભલે હું કાલે નહિ હોઉં તો પણ અન્ય કોઈ મારૂં સ્થાન લઇ લેશે. મારા ગીત સંગીતને તે અપનાવશે અને જુદા જ રૂપમાં જગતને હસાવવા માટે આવી જશે.
હું ભલે હયાત ન હોઉં અને કદાચ તમે મને ભૂલી જશો પણ હું તો સદાય તમારો છું અને તમારો રહીશ. આ જ વિધાન આપણને પણ નથી લાગુ પડતું?
કહેવાનો ભાવાર્થ એ જ કે સારા કર્મો કરશો તો લોકો તમને તમારી હયાતી બાદ પણ યાદ કરશે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
દરજીડાનો માળો એટલે ઝૂલતું પારણું
ફરી કુદરતને ખોળે
જગત કીનખાબવાલા
બોલો, પ્રજનનની ઋતુમાં નર દરજીડાને બે વધારાના પીંછા પૂંછડી વચ્ચેથી બહાર નીકળે. આમ તો નર અને માદા એમ બંને દરજીડા લગભગ સરખા દેખાય. જેણે પણ આ સૃષ્ટિ બનાવી છે તેણે હંમેશા દરેક જીવમાં કોઈ ને કોઈ ખૂબી મૂકતાં થાક્યા નથી. કેટલી બધી વિવિધતા આ પક્ષી જગતમાં જોવા મળે છે! ખરેખર કુદરત ખુબ અજાયબીઓથી ભરેલું છે.

દરજીડાનો માળો ખુબ ચોકસાઈ અને ચતુરાઈથી બનાવેલો હોય છે, તેવી જગ્યાએ માળો બનાવે કે તમને દેખાય પણ નહિ. રૂ,પીંછા,વાળ વગેરે વાપરી પોચી ગાદીની આજુબાજુ પાંદડાથી સિલાઈ કરી દે અને એવી જગ્યાએ થેલી જેવો માળો બનાવે કે છોડના પાંદડામાં ભળી જાય (camouflage). ક્યારેક એક મોટા પાનમાંથી કપ બનાવી પાંદડાની ધારના રેસા, કરોળિયાના જાળાના તાંતણા કે માનવના દોરા વગેરે લઇ રીવેટ મારે તેમ ચાંચનો સોયની જેમ ઉપયોગ કરી ટાંકા લઈલે (અદભુત વિડિઓ, બીજાનો Youtube ઉપરથી આભાર સાથે યોગ્ય સમજ આપવા માટે લીધેલો છે[1]) તમે આશ્રર્ય પામોકે લાંબી ઘાટીલી ચાંચ વડે કેવી રીતે પાનમાં કાણું પાડે અને પાછું ટાંકો લઇ સિલાઈ પણ કરીદે. આ તેની લાંબી ચાંચના ઘાટને લીધે શક્ય છે. સાથે બીજો વિડિઓ છે તે લેખકના ઘરે જાતે ઉતારેલો વિડિઓ છે જેમાં હજુ બહારથી પડ વાળીને પાન વીંટાળવાના અને સિલાઈ કરવાની બાકી છે. ડમરાંનાં છોડમાં લગભગ ૩ ફૂટની ઊંચાઈ ઉપર તે માળો બનાવેલો છે. તેમાં તે બાજુના લીલા અકલિફાના છોડમાંથી પાન લઇ ચીવટ અને પ્રેમથી સિલાઈ કામ કરશે. સિલાઈ કામ સાથે દોરો છૂટી ન જાય માટે દોરાને ચાંચથી પહેલી ગાંઠ પણ મારે. માળામાં ચાર જેટલા ઈંડા મૂકે અને લગભગ એક મહિનાના સમયમાં તે બચ્ચા બહાર આવી જાય. ફેબ્રુઆરી માસથી જૂન મહિનામાં તેમની પ્રજનન ઋતુ હોય. માદા દરજીડો માળો ગૂંથે અને નર દરજીડો તેમના વિસ્તારની બીજા દરજીડાઓથી રખેવાળી કરે.
પ્રેમ અપાર
ફરફર ફરકે
ઝૂલે ઝુલાવેહાઈકુ: જગત.કીનખાબવાલા
માળો ઝૂલાની જેમ લટકતો હોય અને બચ્ચા જન્મની સાથેજ હિંચકો મેળવે. માળો અને ઝૂલો બંને એક સાથે. માળાની રચના કેવી અજાયબ છે, કેટલી અદભુત આવડતથી માળો બનાવે છે! કલ્પના કરોકે શું દરજીડાનો માળો જોઈને માણસને ઝૂલો * બનાવવાની કલ્પના થઇ હશે! તેમની નવી પેઢીને પણ આવી રીતે માળો બનાવતા કેવી રીતે આવડી જતું હશે!* માળો સીવવાની આવડતને કારણે લોકોમાં વધારે જાણીતું છે.
આ નીલ ગગનના પક્ષીઓ જેનાથી આખું પક્ષી જગત બન્યું છે તે એક પ્રકૃતિની અદભુત દેન છે. કેટલા બધા વિવિધ જાતના પક્ષીઓ છે! દુનિયામાં આશરે ૯૦૦૦ જેટલા વિવિધ જાતના પક્ષીઓ છે જેમાંથી ભારતવર્ષમાં આશરે ૩૬૦ જાતના પક્ષી જોવા મળે છે. ભારત વર્ષ અને દક્ષિણ એશિયામાં દરજીડો જોવા મળે છે.
આપણા જીવનભરનાં સાથી છે આ બધા આપણી આસપાસનાં પંખી. ભારત વર્ષના ૧૭ કોમન પક્ષીઓમાંનું આ એક પક્ષી છે. લગભગ ૫ ઇંચ, એટલે કે ૧૩ સેન્ટીમીટરનું આ પક્ષી ખુબ નાનું હોય છે પણ તેની પૂંછડી લાંબી હોય છે. ઊડતી વખતે પૂંછડી સાચવવી ભારે પડતી હોય તેવું ઉડાનમાં દેખાય. પૂંછડીની જેમ ચાંચ પણ લાંબી હોય, પણ હા ભલે દરજીડો નાનો હોય પણ અવાજ ઘણો મોટો કાઢે અને સાંભળનાર મૂંઝવણમાં પડે કે કોઈક મોટું પક્ષી હશે. ખુબજ સ્ફુર્તીલું આ પક્ષી ખુબ આનંદી હોય છે. ચીવ ચીવ , ચી …વીક, ચી…વીક મોટો અવાજ કાઢે.
ખોરાકમાં બગીચાનાં ઝીણાં ઝીણાં ઈંડા અને ઈયળો તેમજ જીવડાં ખાઈ લે અને તે માટે જમીનથી ખુબજ નજીકની ઊંચાઈ ઉપર એક ડાળીથી બીજી ડાળી ઉપર આ મોજીલાં પક્ષી ઉડતા હોય અને ઠેકડા મારતા હોય જે જોવાનો ખુબ આનંદ આવે. જો એક બાજુ બેસીને તેને ખલેલ પાડ્યા વગર બેસીને જુવો તો ખુબ નયનરમ્ય લાગે. તેના ખોરાકના લીધે તે માનવને ઉપયોગી થાય છે અને તેના કારણે ખેતર અને બગીચામાં દવાઓ ઓછી વાપરવી પડે.
રંગ મિજાજ
મોજીલો દરજીડો
નયન રમ્યહાઈકુ: જગત.કીનખાબવાલા
તે રંગે રૂપે ઘણો રૂપાળો દેખાય. ઉપરના ભાગે પિસ્તાઈ લીલાશ પડતો પીળો, કપાળ અને તાલકું રતુમ્બડા અને બાકીનું માથું અને બાજુઓ આછા રાખોડી રંગના હોય. તેને ગાળાની બંને બાજુ નાનો ઘેરો ડાઘ હોય જે તે ગાળું ફુલાવી બોલે ત્યારે દેખાય. તેના પેટનો ભાગ ધૂંધળો સફેદ હોય તેમજ સાથળ અને પાંખો સુંદર બદામી લીલાશ રંગ ઉપર જાય. નાનું, પણ ધ્યાન આકર્ષક દેખાવડું પક્ષી છે. સુંદર કાળી ગોળ કિકી હોય છે જેની બહારની બાજુ ઘેરાં કથ્થઈ રંગની રિંગ હોય. તેના પગ ઘણાં મજબૂત હોય છે.
સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve
લેખક:
જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214 -
વનવૃક્ષો : રૂખડો

વાર્તામાં રૂખડા ઝાડનું નામ સાંભળેલું. સોનબાઈની વાર્તામાં આવે છે કે–
“વધ વધ રૂખડા વધી જજે.”
મને તો થતું કે રૂખડો આકાશ જેટલો ઊંચો હશે.
વીશ વર્ષનો થયો ત્યાં સુધી મેં રૂખડો ભાળેલો નહિ; પણ એક વાર ઘોઘા ગયો અને રૂખડો દીઠો. હું તો નવાઈ જ પામી ગયો. રૂખડો ઊંચો નહિ પણ સારી પેઠે નીચો; ઠીંગણો. પણ એટલો બધો જાડો કે બસ ! માત્ર જાડો, પણ ઊંચો નહિ; માત્ર થડ પરંતુ ડાળોવાળો ને પાંદડાંવાળો નહિ. એટલે રૂપાળો લાગે નહિ. અને જાડો તે કેટલો બધો ? બારતેર જણા હાથના આંકડા ભીડી ભીડીને ઝાડ ફરતા ઊભા રહ્યા ત્યારે માંડ થડ બાથમાં આવ્યું.
જાડા, ઠીંગણા, કદ્રૂપા સીદી જેવો રૂખડો કોઈ કહે તો ના ન કહેવાય. રૂખડો મૂળે ય આવેલો છે આફ્રિકાથી. જૂના વખતના આફ્રિકાના મુસાફરોએ અહીં આણ્યો હશે. દરિયાકિનારો તેને બહુ ભાવે છે.
મેં એને કરૂપ રૂખડો કહ્યો, પણ ચિત્રકારને મન તે નવીન અને સુંદર લાગે છે. થડ અને ડાળીઓ જરૂર ચિત્રકાર ચીતરી લે. ઝાડોમાં વિચિત્ર ઝાડ વિચિત્રતાને કારણે જ રૂપાળું લાગે.
થડમાં ખાડા ખાડા પાડીને છોકરાઓ રૂખડા ઉપર ચડે છે. ચાર પાંચ જણા એક સાથે ચડતા હોય ત્યાં સુધી એકબીજાને ખબર ન પડે કે કોણ ચડે છે.
કાઠિયાવાડના ચાંચ બેટમાં એક મોટો જબરો રૂખડો છે. તેના થડમાં એવી પોલ છે કે તેમાં એક ગાડું સમાઈ જઈ શકે !
માહિતી સ્રોત : વિકિસ્રોત
વધારે માહીતી માટે:
-
પહોંચવું હોય ત્યાં જ પહોંચવાની તૈયારી
મંજૂષા
વીનેશ અંતાણી
પૂરમાં તણાતો માણસ ધારેલા સ્થળે પહોંચી શકતો નથી, જ્યારે સામે પૂર તરવાની તૈયારી ધરાવતો માણસ ધારેલા સ્થળે પહોંચી શકવાની ક્ષમતા ધરાવે છે.
ક્યારેક નાનકડી ઘટના જિંદગીને જુદી રીતે જોવાની તક આપે છે. કોઈક ફિલ્મ, કોઈક સ્મૃતિ, એકાદ પુસ્તક, કોઈક નાનકડું વાક્ય, પ્રવાસની કોઈ ક્ષણ. ક્યારેક અન્ય વ્યક્તિના જીવનમાં બનેલી ઘટનાથી પણ આપણામાં નવી દૃષ્ટિ કે સમજણ ફૂટી નીકળે છે. એ બધું સૂચવે છે કે જીવનમાં કશુંય ફાઇનલ હોતું નથી. આપણાં વિચાર, અભિગમ, માન્યતાઓ, જીવનદૃષ્ટિ સદા પરિવર્તનશીલ હોય છે. શરત એટલી જ હોય કે તે માટે આપણે આપણાં હૃદય, બુદ્ધિ, આંખ-કાનને ખુલ્લાં રાખ્યાં હોય, આપણે કોચલામાં પુરાઈ ગયા ન હોઈએ.
માનવજીવનની ટ્રેજેડી મૃત્યુ નથી, આપણે આપણી ભીતરનું સત્ત્વ કેટલીય વાર મરવા દઈએ છીએ તે ભયાનક ટ્રેજેડી છે. માણસ એનામાં રહેલી ક્ષમતા અને એ જે બન્યો તે વચ્ચેના તફાવતનો હિસાબ લગાવે ત્યારે જ એણે પોતાની જિંદગીનું શું કરી નાખ્યું તેનો અંદાજ આવે છે. આવરદા પૂરી કરી નાખવી એક વાત છે અને ‘જીવવું’ બીજી વાત છે. આપણી આસપાસ કેટલાય લોકોને અફસોસ કરતા સાંભળીએ છીએ કે તેઓ જીવનમાં કરવા માગતા હતા તે કરી શક્યા નહીં. સંજોગો જુદી વસ્તુ છે અને ક્ષમતાનો અપૂરતો ઉપયોગ બીજી બાબત છે. એવા લોકોએ એમની ભીતર રહેલા ખજાનાને ખોઈ નાખ્યો હોય છે. સમય જતાં તે ખજાનાને કાટ લાગી જાય છે અને તેને ખોલવાની ચાવી ખોાવાઈ ગઈ હોય છે.
લોકો તેઓ શું કરવા માગતા હતા અને શું કરી રહ્યા છે, શા માટે કરી રહ્યા છે, તે વિશે સભાન થાય ત્યારે એમનામાં પોતે ક્યાંક ઘસડાઈ ગયા છે, પહોંચવું હતું ત્યાં પહોંચી શકાયું નથી, જીવન ધ્યેયહીન થઈ ગયું છે એવી લાગણી જન્મે છે. એમણે સામે પૂર તરવાને બદલે એમાં તણાઈ જવાનું પસંદ કર્યું હોય છે. મોટે ભાગે એવી પસંદગી એમની પોતાની જ હોય છે. પૂરમાં તણાતો માણસ ધારેલા સ્થળે પહોંચી શકતો નથી, જ્યારે સામે પૂર તરવાની તૈયારી ધરાવતો માણસ ધારેલા સ્થળે પહોંચી શકાવાની ક્ષમતા ધરાવે છે. ઘણી વાર ખોટી જગ્યાએ પહોંચ્યા પછી પાછા વળવાની શક્યતા ભૂંસાઈ ગઈ હોય તેવું પણ બને. નવેસરથી શરૂઆત કરવાની તક રહી ન હોય. એમણે બહુ પહેલાં એમના જીવનનો હેતુ ગુમાવી દીધો હોય છે. એમનામાં મોટિવેશન હોતું નથી. ‘હોવાપણા’નો અર્થ ગુમાવી દીધા પછી હતાશા અને પરાજયની કારમી લાગણી કોરી ખાય છે.
ઘણા લોકો કોઈ પડકારભર્યું કામ શરૂ કરતાં પહેલાં એમાં આવનારી અડચણો વિશે વિચાર કરે છે. તેઓ બચાવ કરવા માટે પોતે કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં વાસ્તવિકતાનો વિચાર કરે છે તેવું આકર્ષક બહાનું આગળ ધરે છે. પાછળથી પાછા વળું પડે તે કરતાં આગળ જવું જ નહીં એ અભિગમ વ્યવહારિક વલણ લાગે, પરંતુ તે પલાયન પણ હોય છે. તે નકારાત્મક અભિગમ છે. સકારાત્મક વલણ ધરાવતા લોકો કહેશે કે જીવનમાં આપણે ધારેલી દિશામાં આગળ વધવા માટે સંભવિત અવરોધોની આગોતરી કલ્પના કરવાને બદલે કામ શરૂ કર્યા પછી જે અવરોધ ઊભો થાય તેમાંથી રસ્તા કાઢવાના ઉપાય વિચારવા જોઈએ.
ઘણા પલાયનવાદી લોકો એમનામાં રહેલી ક્ષમતાનો ક્યાસ કાઢવાને બદલે પોતાના સંજોગોને આગળ ધરશે, માથું ધુણાવતા બોલશે: ના, અત્યારે મારા સંજોગ નથી. જો તે વાત માત્ર બહાનાબાજી જ હોય તો તેઓ આખી જિંદગી સંજોગોના ઢગલા નીચે જ દબાઈ રહેવાના છે, કારણ કે સંજોગ જાતે ખસતા નથી, તેને ધક્કા મારીને દૂર કરવા પડે છે. માણસ પોતે જ મલબો બની જાય તે પહેલાં એણે માર્ગમાં આવતા મલબાને ખસેડવો પડે. એક હિંમતવાન વ્યક્તિએ કહ્યું હતું: ‘પહેલાં તો હું મને ઘેરી વળેલી મુશ્કેલીને ચારે બાજુથી તપાસું છું. એની ઉપરથી કે નીચેથી કે બાજુમાંથી બહાર નીકળવવાનો રસ્તો મળે નહીં તો હું સામી છાતીએ મુશ્કેલ પરિસ્થિતિ પર પ્રહાર કરું છે. વધારેમાં વધારે શું થશે? હું તૂટી જઈશ અથવા મુશ્કેલી ભાંગીને ભૂકો થઈ જશે. પરંતુ મારો અનુભવ છે કે હું તૂટ્યો નથી, દરવખતે મુશ્કેલીનો જ ભૂકો થયો છે.’
કેટલાક લોકો એમની ઘરેડમાંથી બહાર નીકળી પરિવર્તન માટે તૈયાર હોતા નથી. એમને બંધાયેલી ઘરેડની સુરક્ષિત દીવાલ વચ્ચે બંધિયાર થઈને રહેવું ગમે છે. મોટાં મોટાં પરિવર્તન આપણે નાનાં નાનાં પરિવર્તનો માટે કેળવેલી આદતમાંથી શક્ય બને છે. ઘણા લોકો ઘરેડ બદલવાનો વિચાર કરે છે, પોતે જ્યાં હોય તેનાથી કશુંક જુદું કરવા માગતા હોય છે, પરંતુ તે ‘જુદું’ એટલે શું તેની એમને ખબર હોતી નથી. કઈ જગ્યાએ જવા માગીએ છીએ તે નક્કી કર્યા વિના પ્લેટફોર્મ પર ઊભેલી કોઈ પણ ટ્રેનમાં બેસી જવાનો અર્થ નથી. જ્યારે આપણે કોઈ સફળ વ્યક્તિને પૂછીએ કે એ એમની જગ્યાએ કેવી રીતે પહોંચી શક્યા ત્યારે સંભવત: એમનો પહેલો જવાબ હશે – કારણ કે મેં મારી જગ્યા સુધી પહોંચવાનો નિર્ણય કર્યો હતો. વાત યોગ્ય ટ્રેનની ટિકિટ બુક કરાવવાની છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
પરંપરાને હળવેકથી પડકારતાં લોકોનું ધ્યાન દોરાય, બસ! બીજું કશું નહીં
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
માનવજીવનમાં કળાનું સ્થાન સંસ્કૃતિ વિકસી એ પહેલાંનું છે, જેની સાહેદી ગુફાચિત્રો પૂરે છે. કળાનું શાસ્ત્ર વિકસતું ચાલ્યું, તેનું બજાર ઊભું થયું એટલે એક યા બીજા કારણોસર તે ચર્ચામાં રહેવા લાગી. વચ્ચે એક આખા અરસા દરમિયાન ‘કળા ખાતર કળા’ અને ‘જીવન ખાતર કળા’ના મુદ્દે અનેક વિવાદ થતા રહ્યા. હજી એક મોટો વર્ગ માને છે કે કળા એ ‘ભર્યા પેટના ચાળા’ છે, અને જીવનમાં કળાનું સ્થાન હોવું વૈભવ સમાન છે, જે મોટા ભાગના લોકોને પોષાતો નથી. ઊંચા દામે વેચાતી કળાકૃતિઓ અહોભાવ કરતાંય વધુ કુતૂહલનો વિષય મનાય છે. આમ હોવા માટે કળાકૃતિની વિશેષતા નહીં, તેની બોલાયેલી ઊંચી કિંમત કારણભૂત હોય છે.
થોડા સમય અગાઉ આ કટારમાં ફ્રાન્સના ખ્યાતનામ લુવ્ર મ્યુઝિઅમમાં રખાયેલી જગવિખ્યાત કૃતિ ‘મોનાલીસા’ પર બે મહિલાઓએ સૂપ ફેંકીને વિરોધ પ્રદર્શિત કર્યો હોવાની વાત આલેખાઈ હતી. હવે જર્મનીના મ્યુનિકમાં આવેલા ‘પીનાકોથેક ડેર મોડર્ને’ મ્યુઝિઅમમાં જરા જુદા પ્રકારની ઘટના બની છે, જેણે વિવિધ પ્રત્યાઘાત જન્માવ્યા છે. આ મ્યુઝિઅમના ‘મોડર્ન એન્ડ કન્ટેમ્પરરી’ વિભાગમાં એન્ડી વોરહોલ, પૉલ ક્લે સહિત અનેક મહાન કલાકારોનાં ચિત્રો પ્રદર્શિત કરવામાં આવેલાં છે. આ વિભાગના પ્રવેશ પાસે એક દિવસ સાવ નવું જ ચિત્ર મૂકાયેલું જણાયું. મુલાકાતીઓ એ ચિત્ર જોઈને નવાઈ પામતા, અને એ ચિત્રનું શિર્ષક કે તેના કલાકારનું નામ સૂચવતી નિશાની ન મૂકાયેલી હોઈને મૂંઝવણ અનુભવતા. આખરે મ્યુઝિઅમના સત્તાવાળાઓના ધ્યાને આ ચિત્ર આવ્યું. તપાસ ચાલી અને એમાં બહાર આવ્યું કે આ ચિત્ર કોઈ મહાન કલાકારની કૃતિ નથી, બલ્કે મ્યુઝિઅમના એક ટેક્નિશિયન કર્મચારીએ જ જાતે ચીતરીને એ ગોઠવી દીધું હતું. પોતાનામાં રહેલી કળાને પ્રદર્શિત કરવાનું આનાથી ઉત્તમ માધ્યમ બીજું કયું હોઈ શકે એમ વિચારીને તેણે આ પગલું ભર્યું હતું. આ હકીકતની જાણ થતાં એ કૃતિને ઊતારી લેવામાં આવી અને કર્મચારીને પાણીચું પકડાવીને મ્યુઝિઅમની સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ અદાલતી દાવો માંડવામાં આવ્યો. મ્યુઝિઅમમાં તેના માટે પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી.
સામાન્ય ગણાતી આ ઘટનાએ વિશ્વભરનાં કલાવર્તુળોમાં ચર્ચા જગાવી છે. સાથોસાથ કેટલીક વધુ વિગતો પણ પ્રકાશમાં આવી રહી છે. આ ઘટનાની જાણ થઈ એ સાથે મ્યુઝિઅમના સત્તાવાળાઓએ તેને ‘નાનકડી છેતરપિંડી, મામૂલી બાબત’ ગણાવી. એ પછી બહાર આવ્યું કે હકીકતમાં આ મ્યુઝિઅમમાં ‘ગ્લીચ:ધ આર્ટ ઑફ ઈન્ટરફીઅરન્સ’[1] નામે એક પ્રદર્શન ચાલી રહ્યું છે, જે તેના નામ મુજબ, કળામાં થતી ભૂલો અને રહી ગયેલા દોષને કેન્દ્રમાં રાખીને યોજાયું છે. તેના કેટલોગમાં જણાવ્યા અનુસાર પ્રદર્શનનો હેતુ ‘માપદંડના આદર્શો અને સામાજિક-રાજકીય અસમાનતાને ઉજાગર કરવાનો’ તેમજ ‘જે અદૃશ્ય છે તેને દૃશ્ય કરવાનો’ છે. આ આખા ઘટનાક્રમને અનુસરનાર એક વ્યક્તિએ જણાવ્યું: ‘પ્રદર્શનમાં ચિત્રને ઘૂસાડવાનો હેતુ એ જોવાનો હતો કે મ્યુઝિઅમના સત્તાવાળા પોતે જે કહે છે એના અમલ માટે સજ્જ છે કે કેમ. એ એક પ્રકારનો કળાકીય પડકાર હતો. ચિત્રને ટીંગાડનાર ટેક્નિશિયન કંઈ પ્રસિદ્ધિનો ભૂખ્યો નહોતો.’
પ્રદર્શનનાં નિયોજકે કહ્યું કે આ પ્રદર્શનના નિયોજને પોતાને અપૂર્ણતા અને અકસ્માતને સ્વીકારતાં શીખવ્યું છે. પૂર્ણ શું એ નક્કી કરે કોણ? દુર્ઘટનાઓ સાથે કામ પાર પાડતાં અમુક અંશે શાંતિનો ભાવ કેળવાતો જાય એ શક્ય છે. જો કે, મ્યુઝિઅમના સત્તાવાળાઓ માટે ‘શાંતિનો ભાવ’ કેળવવો મુશ્કેલ બની રહ્યો છે. તેમણે બવેરિયન રાજ્યની તમામ ચિત્ર ગેલરીઓના સંગ્રહમાં આ કર્મચારીના કોઈ પણ ચિત્રને ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે. ‘નકલખોરીના ગતકડાને પ્રોત્સાહન ન આપવાના’ ભાગરૂપે સત્તાવાળાઓએ એ કર્મચારીનું નામ સુદ્ધાં જાહેર કર્યું નથી. તેમણે આ ચેષ્ટાને ‘કળાકીય હસ્તક્ષેપ’ નહીં, પણ ‘વિશ્વાસનો ભંગ’ ગણાવ્યો.
જર્મનીના બોન શહેરમાં ગયે વર્ષે યોજાયેલા એક ચિત્રપ્રદર્શનમાં પણ કંઈક આવી જ ઘટના બનેલી. ‘હુ વી આર- રિફ્લેક્ટિંગ અ કન્ટ્રી ઑફ ઈમિગ્રેશન’ નામના પ્રદર્શનના અંતે સત્તાવાળાઓના ધ્યાને એક વધારાનું ચિત્ર આવ્યું. તેમણે આ આખી ઘટનાને હળવાશથી લીધી અને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમ પર સંદેશો વહેતો મૂક્યો: ‘અમને આ રમૂજી લાગે છે અને આના કલાકારનું નામ જાણવું અમને ગમશે. એને કશી તકલીફ નહીં પડે, બલ્કે શાબ્દિક સન્માન પ્રાપ્ત થશે. આથી અમારો સંપર્ક કરો.’ આ જાહેરાતને પગલે ડેનાઈ એમાન્યુઆલીસ નામની કલાકાર આગળ આવી. તેણે જોયું કે પોતાનું ચિત્ર કોલોનમાં યોજાયેલી એક હરાજીમાં ૩,૬૯૬યુરોની બોલીમાં વેચાયું.
અગાઉ બેન્ક્સી નામના કલાકારે પણ પોતાના એક ચિત્રને હરાજીમાં મૂકીને, તે ઊંચી બોલીમાં વેચાયા પછી એ ચિત્રની અંદર મૂકેલા શ્રેડરની રચનાથી તેને નષ્ટ કરી દીધું હતું. એ રીતે તેમણે કળાજગતમાં વ્યાપેલા આર્થિક મૂલ્યાંકનના અપ્રમાણસર દૂષણ સમક્ષ લોકોનું ધ્યાન દોર્યું હતું.
આ તમામ ઘટનાઓના મૂળમાં કળાના ક્ષેત્રે પ્રવેશી ગયેલા, જામીને જડ થઈ ગયેલા નાણાંના દૂષણનો મુદ્દો સામાન્ય છે. આની સામે એક હકીકત એ પણ છે કે હરાજીમાં ગમે એવી ઊંચી બોલીએ વેચાયેલા ચિત્રની આવકમાંથી તેના કલાકારને ભાગે કશું આવતું નથી, કેમ કે, એ ચિત્ર તેના સંગ્રાહકની માલિકીનું હોય છે. સમગ્રપણે જોઈએ તો કળા હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર, બધે જ નાણાંની, જામી ગયેલી પરંપરાની સમસ્યા વ્યાપ્ત છે. તેના વિરોધ માટે આવો એકલદોકલ સૂર ક્યારેક ઉઠે છે ખરો, પણ પથ્થર મારવાથી તળાવના પાણીમાં થતાં વલયથી વધુ તેની અસર રહેતી નથી. એ પણ આપણા સમાજનું જ પ્રતિબિંબ કહી શકાય.
[1] સાંદર્ભિક વિડીયો ક્લિપ નેટ પરથી | સ્રોત: Chipmunk walkthrough of Glitch: The Art of Interference at the Pinakotheka der Moderne, Munchen, De
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૨– ૦૫ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પ્રતિભાના સ્થૈર્યની કથા : ‘અંગદનો પગ’
દર્શના ધોળકિયા
ગુજરાતી સાહિત્યમાં કેટલીક નવલકથાઓ વિશિષ્ટ સ્થાન પામી છે. તાજેતરમાં હરેશ ધોળકિયાની નવલકથા, ‘અંગદનો પગ’, ની ૨૦ મી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે.એ સંદર્ભમાં આજે વાત માંડવી છે ‘અંગદના પગ’ની.

આ કૃતિ શૈક્ષણિક નવલકથા તરીકે ખૂબ આવકાર પામી છે. લેખક નોંધે છે તેમ, આ રચનાના મૂળમાં લેખિકા આયન રેન્ડની ‘ફાઉન્ટનહેડ’ કૃતિનો મહદ્દઅંશે પ્રભાવ રહ્યો છે. અહીં લેખકે મૌલિક રીતે આયન રેન્ડના વિચારોનું અર્થઘટન કરીને શૈક્ષણિક જગતના સંદર્ભમાં એ વિચારોને પ્રગટ કર્યા છે. લેખક પોતે નોંધે છે તેમ, વિશ્વમાં બે પ્રકારના લોકો છે : પ્રતિભાશાળી અને સામાન્ય. પ્રતિભાશાળી લોકો વિશ્વને પ્રગતિશીલ કરવામાં મદદ કરે છે પણ વિશ્વનો કબજો હંમેશા સામાન્ય લોકો પાસે રહ્યો છે. સામાન્યનું કામ હંમેશા પ્રતિભાશાળીને હેરાન કરવા, હટાવવા, પછાડવાનો પ્રયાસ કરવાનું રહ્યું છે. સામાન્ય લોકો પ્રતિભાશાળી લોકોને બાહ્ય રીતે પરેશાન કરી શકે છે પણ આંતરિક રીતે ક્યારેય પણ ખલેલ પહોંચાડી શકતા નથી. લેખકને મતે પ્રતિભાશાળીઓ રામાયણના મહાન પાત્ર ‘અંગદના પગ’ જેવા હોય છે -અચળ અને સ્થિર, જેને સામાન્ય લોકો કદી ખેસવી શકતા નથી. ‘અંગદનો પગ’ આવી પ્રતિભાશાળી અને સામાન્ય વ્યક્તિના સંઘર્ષની કથા છે. એટલે જ એમાં એક સાથે સર્હ્દય એક બાજુથી કૃતિમાં રસતરબોળ બને છે તો બીજી બાજુ વેદનાની એક સૂક્ષ્મ કસક તેના ચિત્તતંત્રને હલબલાવી મૂકે છે.
આ કૃતિની નિરૂપણરીતિ વિશિષ્ટ છે. બે શિક્ષકોની આ કથા છે – શ્રી જ્યોતીન્દ્ર શાહ અને શ્રી કિરણ દવે. શાહ આમ તો શિક્ષક છે પણ એમનું ગજુ પ્રોફેસરનું છે. શહેરની ઉત્તમ શાળામાં એ વર્ષોથી કામ કરે છે. તેમને કારણે શાળા જીવંત, ધબકતી, કહો કે લગભગ મંદિરની કક્ષાએ પહોંચી છે. છતાં જોવાની વાત એ છે કે ચીનના મહાન સંત લાઓત્સેની પરિભાષામાં શાહ સાહેબ તદ્દન ખૂણામાં રહેવાનું પસંદ કરે છે. જેમ જેમ શાહ સાહેબ ખૂણામાં રહેવાનું પસંદ કરે છે તેમ તેમ તેમ તેમની પ્રતિભા, તેમનો પ્રભાવ શાળા પર, આચાર્ય પર અને સમાજ પર અને સૌથી વધારે તો વિદ્યાર્થીઓ પર સૂર્યના પ્રકાશની જેમ પથરાઈ જાય છે. આ શાળામાં પછીથી શિક્ષક તરીકે કિરણ દવે નામની વ્યક્તિ પ્રવેશ કરે છે.આ કિરણ દવેની કથા કિરણ પોતે જ કહે છે. જોવા જાવ તો આખીય કૃતિ એક કબૂલાતનામાની કથા બને છે.
કથાનો પ્રારંભે રીતે શાહ સાહેબ અને દવે સાહેબનો એક સમાન લાડકો એવો વિદ્યાર્થી કિશોર પ્રવેશ કરે છે. કિશોર ડોક્ટર બની ગયો છે અને એ દવેના પ્રભાવમાં રંગાયેલો છે. અલબત્ત, શાહને પણ એ ખૂબ ચાહે છે. એક રાત્રે કિશોરને દવેનો ફોન આવે છે અને એને એ તાત્કાલિક મળી જવા જણાવે છે. કિશોરને ખબર છે કે તેના પ્રિય દવે સાહેબ અત્યારે ટી.બી.ના રોગમાં સપડાયેલા છે. એને એમ લાગે છે કે આને લગતું કાંઈ કામ હશે એટલે તરત જ એ નીકળી પડે છે, દવે સાહેબને ઘરે પહોંચે છે. પોતાના પુત્રને અને ઘરનાં બધાંને દૂર કરીને દવે એકલા કિશોરને પોતાની પાસે બેસાડે છે અને એના સાથે વાત આરંભતાં કહે છે કે, ‘તું મને વર્ષોથી ઓળખે છે આપણે એકબીજાના સતત સંપર્કમાં રહ્યા છીઅ, તું એમ માને છે કે આજે તું જે છે એ મારે કારણે છે, તેં મને ખૂબ ચાહ્યો છે. સાથે સાથે શાહને પણ ખુબ ચાહ્યો છે. પણ આજે મારે તને કશું કહેવું અને જે કહેવું છે એ આ મારી ડાયરીમાં છે. હવે કદાચ મારી પાસે બહુ સમય નથી એટલે આ ડાયરી તું વાંચજે, એના વિશે વિચારજે. આનાથી સવિશેષ અત્યારે મને તારું કોઈ જ કામ નથી.’ કિશોર નવાઈ પામે છે કે દવે સાહેબ અને ડાયરી! કારણ કે એમને તો ગણિત-વિજ્ઞાન સિવાય કોઇ વિષયમાં રસ નથી. તેમાં પણ લેખન – વાચનનું તો એ વિચારી પણ ન શકે અને આજે ડાયરી લખતા થઈ ગયા! એ અવાક બને છે, સાહેબની મનોદશાને એ જોઈ શકે છે. તેને લાગે છે કે અત્યારે એ થોડા મૂંઝવણમાં છે, થોડા ડરી ગયેલા છે. કોઈ પ્રકારનો ભય તેમને સતાવી રહ્યો છે એટલે વધારે કશું ન કહેતાં એ ડાયરી લઈને પોતાના ઘેર પાછો આવે છે. આમ તો એને એમ છે કે આ ડાયરી હું નિરાંતે વાંચીશ પણ તેનું કુતૂહલ તેને જંપવા દેતું નથી. એ સુવા જતો હોય છે પણ ઊભો થઈને ટેબલ પાસે આવી ટેબલ લેમ્પ સળગાવીને મધરાતે ડાયરી વાંચવાનું શરૂ કરે છે અને કથા આરંભાય છે.
આખી કથા દવેના મુખેથી અહીંયા ડાયરી લેખનમાં અભિવ્યક્ત થઇ છે. કિશોર એ વાંચતો જાય છે અને એના ભૂતકાળમાં તણાતો, ખોવાતો જાય છે. દવે ખરેખર આ ડાયરીમાં એક પ્રામાણિક વ્યક્તિ તરીકે પ્રગટ થયો છે શરૂઆત એ આમ કરે છે કે, પોતે નાનપણથી જ સાવ સામાન્ય હતો. એના પિતા મોટા વકીલ હતા. એને ખૂબ આગળ વધેલો જોવા માગતા હતા. એને આગળ વધારવાના ખૂબ પ્રયત્ન કરતા હતા તેમજ જરૂર લાગે ત્યાં પોતાની લાગવગ પણ વાપરતા હતા. પણ દવે પોતાના પિતાની ઈચ્છાને પૂરી ન જ કરી શક્યો. પિતા તેનાથી ખૂબ નારાજ રહેતા. દવે ઘણું મથ્યો છે છતાં એ અસામાન્ય થવા તરફ એક ડગલું પણ માંડી શક્યો નથી. દવે ખૂબ માર્મિક રીતે નોંધે છે કે તેની આ અસામાન્યતાને સૌપ્રથમ જો કોઈ સમજી શક્યું હોય, પરખી શક્યું હોય તો તેની મા. દેખાવડી એવી નહીં પણ છતાં કશું ગમી જાય એવી વેધક નજરવાળી, તીવ્ર આંખવાળી (અંદરની આંખોવાળી). ધીમેથી એને પિતાને અનેક વાર કહ્યું કે,’તમે કિરણને નહીં બદલી શકો.’ અને એકવાર જરા આક્રમક થઈને પણ કહ્યું કે, ‘ કિરણ તદ્દન સામાન્ય છોકરો છે, એ ક્યારેય પણ તમારી આકાંક્ષા, અપેક્ષાને નહીં સંતોષી શકે એને એની રીતે જીવવા દો.’ ત્યારે પોતે સ્તબ્ધ થઈ ગયેલો કે માએ આ પોતાને બરોબર પકડ્યો હતો ! તેમ છતાં પિતાએ ઘણો પ્રયત્ન કર્યો. ઘણી બધી રીતે દવેને આગળ વધારવા એણે જહેમત ઊઠાવી પણ પિતાની એક પણ બાબત ફાવી ન શકી અને માંડ માંડ દવેને શહેરની એક મહત્ત્વની શાળામાં ગણિત- વિજ્ઞાનના શિક્ષક તરીકેની નોકરી મળી જે તેને બિલકુલ પસંદ નહોતી. શિક્ષક તો એને ક્યારેય નહોતું થવું પણ એને થવું પડ્યું અને એ દાખલ થયો. વાર્તાનું આરંભ બિંદુ ધીમે ધીમે ભાવક ને મુખ્ય પ્રવાહ તરફ ખેંચતું રહે છે.
વાર્તાનો બીજો ખંડ શરુ થાય છે અને દવેના જીવનમાં પ્રવેશ કરે છે શાહ સાહેબ. જ્યોતીન્દ્ર શાહ! એકદમ અનોખું વ્યક્તિત્વ છે તેનું. આખી શાળા એમના પર ઓળઘોળ છે, પ્રિન્સિપાલ ઓઝા સુધ્ધાં. દવે આ બધું જોઈ રહે છે. જોવા જાવ તો શાહ સાહેબમાં કશું જ નથી – સાદાં કપડાં, ગાંધીવાદી વિચારધારા, કશુંક ન સમજાય એવું એ કહ્યા કરે, દવે જેવા માણસને તો ખ્યાલ જ ન આવે કે શાહ કયા પ્રકારનો માણસ છે; અને છતાં આખી શાળા પર શાહ સાહેબનો જે પ્રભાવ હતો એ જોઈને દવે છક્ક થઈ જાય છે! એક બાજુ અતિ મહત્વાકાંક્ષી એવો દવે છે, અને બીજી તરફ મહત્વાકાંક્ષાની પેલે પાર રહેલી આંતરિક ચેતનામાં ડૂબેલા રહીને પ્રસન્નતામાં મહાલતા શાહ સાહેબ છે.
અનાયાસે ધીમે ધીમે દવે જોઈ શક્યો છે કે પોતે ગમે એટલું કરશે તો પણ એ શાહની નજીક નહીં પહોંચી શકે એની એને ખાતરી થઈ જાય છે. એક બાજુ પ્રામાણિકપણે એ સત્ય સમજી શક્યો છે પણ બીજી બાજુ એનામાં રહેલો ઈર્ષાનો ભાવ એને છંછેડે છે, ઝંઝેડે છે અને શાહને કેવી રીતે મહાત કરવો એના પ્રયોગો એ શરૂ કરી દે છે. એ શરૂઆત ધીરેથી પેસવાની કરે છે. પ્રિન્સિપાલ ઓઝાને પોતાના તરફ વાળવાનો એ પ્રયત્ન કરે છે. સ્ટાફ મેમ્બરોને પણ પોતાની તરફ ખેંચવા મથે છે. વિદ્યાર્થીઓને સતત શીખવે છે કે ગણિત – વિજ્ઞાન જ મહત્વનાં છે, વાચનનું કોઈ મહત્વ જ નથી. ગણિત-વિજ્ઞાન આવડશે તો જ તમે લોકો આગળ વધી શકશો. વિદ્યાર્થીઓ એના આવા કેટલાક પ્રયાસોથી આકર્ષાય જરૂર છે પણ દવે જોઈ શકે છે કે પ્રભાવ તો શાહનો જ છવાયેલો છે. એ દરમિયાન કિશોર એના જીવનમાં પ્રવેશ કરે છે. કિશોર સ્વસ્થ છોકરો છે. શાહનો ભક્ત છે પણ દવેની મહત્વાકાંક્ષાવાળી વાત એને સ્પર્શી જાય છે અને દવે ધીમે ધીમે તેનો ઉપયોગ કરવા લાગે છે… પોતાની ડાયરીમાં એ નોંધે છે કે મારે કોને આ માટે શિકાર બનાવવો એનો વિચાર કરતાં મને કિશોર યોગ્ય લાગ્યો અને કિશોરને મેં ઉપયોગમાં લેવા હાથમાં લીધો. વાંચતાં-વાંચતાં કિશોર આ ક્ષણે થંભી જાય છે અને અવાક બની જાય છે! આ શું થઈ ગયું? જે દવે સાહેબને એ અપાર ચાહતો હતો તેમાં આ ક્ષણે પ્રથમવાર ગાબડું પડે છે.
વાત આગળ વધે છે, ધીમે-ધીમે દવે શાળામાં પગ ફેલાવતો જાય છે, પગ પેસારો કરતો જાય છે. આચાર્ય અને શાહના સાયુજ્યથી શાળા સુંદર રીતે ચાલતી હોય છે તેમાં આ દવે પોતાના વિચિત્ર વિચારો લઈ આવે છે. એનો પહેલો વિચાર છે શાળામાં યુનિયન સ્થાપવાનો. અત્યાર સુધી આ વિચાર કોઈને નથી આવ્યો કારણ કે કોઈને એવી જરૂર નથી પડી. ટ્રસ્ટી મંડળ સમજુ છે, આચાર્ય સૌને પોતાના લાગ્યા છે, શાળાનું સમાજમાં સ્થાન છે, શિક્ષકો સંતોષથી જીવે છે. એમાં દવે આ વિચાર સાથે પ્રવેશે છે. આચાર્યને મનાવવામાં એને ખૂબ શ્રમ પડે છે કારણ કે આચાર્ય પ્રભાવશાળી અને સિદ્ધાંતવાદી વ્યક્તિત્વ ધરાવે છે. એ દવેને સમજાવે છે કે આપણને આ યુનિયનની કશી જરૂર નથી. પણ દવે તેની આવડતથી આચાર્યને સમજાવી શકે છે કે આપણે નહીં, પણ અન્ય કોઈ શાળાઓને નુકસાન પહોંચે, કાલે ઊઠીને આપણું ટ્રસ્ટી મંડળ બદલી જાય, સમય બદલે, વિદ્યાર્થીઓ બદલે, પગાર વધારાનો પ્રશ્ન કોઈને મૂંઝવે તો આપણા પાસે એક બળ હોવું જોઈએ. દવેની વાત આચાર્યને વિચારવા જેવી લાગે છે. ટ્રસ્ટી મંડળની મીટીંગ થાય છે ટ્રસ્ટી મંડળને પણ આ વિચાર અવાક બનાવે છે પણ દવે પોતાની કુશળતાથી બધાને સમજાવી શકે છે અને ધીમેથી શાળામાં યુનિયન પ્રવેશ કરે છે.
આચાર્ય આ અંગે જનરલ મીટીંગ કરે છે ત્યારે શાહ સૌથી જુદો પડી જાય છે અને કહે છે મને આવી કોઈ જ બાબતમાં રસ નથી. હું યુનિયનમાં માનતો પણ નથી અને મને એની કોઈ જરૂરિયાત પણ લાગતી નથી. તમે લોકો સ્વતંત્ર છો પણ મને આમાં ઘસડશો નહીં અને હું ઘસડાઈશ પણ નહીં. આ સાંભળી બધા સ્તબ્ધ બની જાય છે. બધાને ખ્યાલ છે કે શાહને કશાની જરૂર નથી. નથી પૈસાની કે નથી બાહ્ય પ્રભાવની… શાહ અળગો જ રહે છે. એનું આ અળગાપણું, જલકમલવત રહેવાની એની કલા અને તેમ તેમ એનાથી છેડાતો જતો દવે વાર્તાને આગળ વધારવામાં મદદ કરે છે. આચાર્યને પણ ખ્યાલ આવી જાય છે કે દવેમાં કશુંક એવું છે કે જે અણગમો ઉત્પન્ન કરે છે પણ દવેમાં એવી કેટલીક આવડત છે કે આચાર્યને પણ ક્યાંક ક્યાંક એનું માનવું પડે છે. સ્ટાફ પણ ધીમે ધીમે દવેને વશ થતો જાય છે કારણ કે અંદરખાનેથી તો બધા જ શાહના વિરોધીઓ છે પણ અત્યાર સુધી એને ટેકો મળે એવું કોઈ પાત્ર શાળામાં આવ્યું નહોતું અને વાત ધીમે ધીમે આગળ વધતી જાય છે. પછી તો દવે ધીમે ધીમે શાળામાં ટ્યુશન પ્રથા પણ દાખલ કરાવે છે. ત્યારે પણ શાહની દલીલ છે કે તમે લોકો પૈસા વિના ભણાવી શકશો? મફત ભણાવવું તમને ફાવશે? તમે લોકો કલ્યાણમાં માનો છો? અંતરાત્મા તમને આવું કાંઇ કહે છે? – આવી બધી દલીલથી એ બધાને સ્તબ્ધ કરી દે છે પણ છેવટે દવેનો વિજય થાય છે. એની આવડતભરી દલીલોથી મલિન પ્રકારના વિચાર અને વ્યવહારવાળા લોકોની એને મદદ મળે છે. જેમાં મુખ્ય છે શાળાનો નવો વરાયેલો નવો ટ્રસ્ટી રાકેશ, જે જૂના ટ્રસ્ટીનો પુત્ર છે. રાકેશ બીજા એક શિક્ષકને મદદ કરવા ટ્યુશન ક્લાસ ખોલાવી દે છે, એમાં દવેને ભણાવવા માટે બોલાવે છે. આમ, ધીમે ધીમે આ શાળામાં યુનિયન પછી ટ્યુશનનો પ્રવેશ થાય છે.
આવું કેટલું બધું બનતું હોવા છતાં શાહ આ બધી બાબતથી અસ્પૃશ્ય જ રહે છે. નથી કોઈ એને હરાવી શકતું, નથી હટાવી શકતું ! એનો પ્રભાવ તો વિદ્યાર્થીઓ પર કાયમ જ રહે છે. કિશોર પણે આમાંનો એક છે. એ દવે સાહેબની વાતોથી પ્રભાવિત થાય છે પણ અંદરખાનેથી એ વણાયેલો તો શાહ સાહેબ સાથે જ રહે છે.
શાહને કેવી રીતે પાછો પાડવો એની એક વધારે ચાલ દવે રમે છે અને ધાર્મિકતાથી જોડાયેલા બધા ટ્રસ્ટીઓ પાસે એવી હવા પહોંચાડે છે કે શાહ ધર્મ વિરુદ્ધ બોલે છે આપણા ધર્મને ઠેકડી ઉડાડે છે. ઉશ્કેરાયેલા ટ્રસ્ટીઓ શાહને બંધ બારણે બોલાવે છે અને પૂછે છે કે આપના ઉપર આવો આરોપ આવ્યો છે. તમને ખબર છે, એની સજા તમારે ભોગવવી પડશે… ત્યારે હસીને શાહ કહે છે, ‘’ હું આ બોલ્યો છું અને આ સાચું છે. પણ એ મેં નથી કહ્યું આતો ઇતિહાસમાં લખેલું છે પાના નંબર – ૨૫ પર. હું ભણાવતો હતો કે બૌદ્ધ ધર્મનાં પતનના કારણો કયાં અને ત્યારે ધાર્મિક વડાઓએ શું કર્યું હતું? એની ચર્ચા ક્લાસમાં ચાલતી હતી નહીં કે તમારા બધાના સંદર્ભે. છતાં તમારે એ સ્વીકારવી હોય તો વાત જુદી છે પણ વાત ખરેખર બૌદ્ધ ધર્મની હતી.’’ અને બધા પાછા પડે છે, શાહનું અપમાન થતું અટકે છે પણ આચાર્યને ખૂબ લાગી આવે છે કે શાહ જેવા શાહને આવી રીતે આવવું પડે? બધા સામે રદિયો આપવો પડે? એના જેવી ગંભીર ઘટના બીજી કઈ હોઈ શકે? એટલે એ ફરીથી શિક્ષકોની મીટીંગ કરે છે, બધાને પોતાની વ્યથા કહે છે અન આ ક્ષણે દવેને આડકતરી પછડાવાનું આવે છે.
વાત વધતી વધતી ત્યાં સુધી પહોંચે છે કે આચાર્ય નિવૃત્તિ ભણી છે નવા આચાર્યની વરણી થવાની છે. સ્વાભાવિક રીતે શાહ સૌથી સિનિયર છે અને તેથી એજ આચાર્ય બનશે. બધા દવે આ જ્ગ્યાએ અરજી કરવા કહે છે. દવેને પણ એમ થાય છે કે આ એક તક છે જે હું મેળવી લઉં તો શાહની ઉપરવટ જઇને કામ કરવાનો મોકો મળે. માટે એ અરજી કરે છે. ત્રણેય વાર ટ્રસ્ટીઓની અને બધાની એવી રમત છે કે બંનેના સરખા જ માર્કસ થાય છે. શિક્ષણાધિકારીને આ બાબતની ગંધ આવી જાય છે અને એ બધા શિક્ષકોને બોલાવીને ઝાટકે છે અને જણાવી દે છે કે ચોથી વખતના ઇન્ટરવ્યૂમાં હું હાજર નહીં રહું. ટ્રસ્ટી મંડળની મદદથી દવે આગળ આવી જાય છે અને એ લોકોના મતે એ શાહને પાછળ રાખી દે છે.
આ ક્ષણે સર્જકે એક ચિત્ર દોર્યું છે : ‘’ઓઝા સાહેબની ખુરશી ફરી અને સ્થિર થઇ ત્યારે એ ઓઝાની નહોતી રહી. એમાં હવે દવે બેઠો હતો.’’ દવે ખૂબ ખુશ હતો કે એણે આ રીતે શાહને મહાત કર્યો હતો. પણ એનો અંતરાત્મા જાણતો હતો કે તે ગમે ત્યાં જાય શાહ તો એની ઉપર જ રહેવાનો છે. એનું સામાન્યપણું નીચું જ રહેવાનું છે. અને શાહનું અસામાન્યપણું તેને અતિક્રમીને તેની ઉપર જ રહેવાનું છે. આ વાત તેને જંપવા દેતી નથી. આ બધું જ બન્યા પછી એક વખત શાહ આવીને પોતાનું રાજીનામું ધરી દે છે. ત્યારે દવે એવો ડોળ કરે છે કે ‘’તમારા વિના શાળા કેમ ચાલશે? તમે હતા તો હું ચલાવી શકતો હતો.’’ પણ શાહ મક્કમ છે. તે કહે છે કે મેં ૫૦ વર્ષની ઉંમર સુધી જ નોકરી કરવાનું નક્કી કર્યું હતું. હું મારી મરજીથી છૂટો થાઉં છું, આપણી શાળાની પરંપરા એવી છે કે તને કોઈ તકલીફ નહીં પડે. મારી તને શુભેચ્છા છે કે તું સારો આચાર્ય પ્રમાણિત થાય. અને શાહ તેના જીવનમાંથી દેખીતી રીતે નીકળી જાય છે.
આટલું લખતાં લખતાં દવે અટકે છે અને નોંધે છે : “મેં કેટલા બધાને છેતર્યા? આજે હું ઘણો બધો સુખી છું કારણ કે મેં ટ્યુશન કર્યા અને ખોટી રીતે સમૃદ્ધિ ભેગી કરી. મારી મહત્વાકાંક્ષાને પૂરી કરવા માટે હું ઝઝૂમ્યો ને એને પૂરી કરી પણ શક્યો. મારાં બાળકો આજે સારું કમાય છે. એને મારા વિશે બહુ ખબર નથી પડી. પણ હા, મારી દીકરી મારી મા ઉપર પડી છે એ મને સમજી ગઈ છે. મારી સામાન્યતા કાં તો મારી માએ પકડી, કાં શાહ સાહેબે પકડી, અને મારી દીકરીએ પકડી. મારા પિતા તો આજે મૃત્યુ પામ્યા છે. મારી આવી સરસ કારકિર્દી જોવા એ હાજર નથી. મારી મા હવે જીવનને કિનારે છે, ઓછું સાંભળે છે, ઘણી વૃદ્ધ થઈ ગઈ છે પણ તેને શાહ સાથે ખૂબ જ બને છે. એ લોકો ઘણીવાર લાઇબ્રેરીમાં ભેગાં થઈ જાય છે અને મારી મા શાહનાં બહુ વખાણ કરે છે કે, ‘’તારો આ સિનિયર ગજબનો માણસ છે, મને ખૂબ ગમે છે. જ્યારે મને મળે છે ત્યારે તારાં ભરપેટ વખાણ કરે છે.’’ પણ મારી માની આંખમાં પેલો તિખારો ત્યારે પણ પ્રગટી જાય છે કે તું શાહ જેવો તો નથી જ નથી અને નથી ! પણ મારી માની આંખને હું ટાળવા પ્રયત્ન કરું છું, દીકરીની આંખને પણ ટાળવા પ્રયત્ન કરુ છું. આજે મને એ દુઃખ છે કે આ બધું કરવા માટે મેં કિશોરનો ઉપયોગ કર્યો છે. કિશોરને મેં શાહ વિરુદ્ધ ચડાવ્યો છે. અલબત્ત, મને એ પણ ખબર છે કે કિશોર આજે પણ શાહને એટલો જ ચાહે છે. પણ કિશોરને જુદી જુદી રીતે ઉપયોગમાં લઈને શાહને પછાડવામાં મેં કાંઈ જ બાકી રાખ્યું નથી… આજે હું મૃત્યુ ભણી છું, મને રોગ લાગુ પડ્યો છે મને એમ લાગે છે કે આ બધું જ કરવા છતાં હું શાહ સામે હારી ગયો છું. બધાની નજરમાંથી ઊતરી ગયો છું – ખાસ કરીને મારી જાત સામેની નજરમાંથી. એટલે મને એમ લાગે છે કે હવે હું આ જીરવી નહીં શકું. શાહ કાયમ વિદ્યાર્થીઓને ડાયરી લખવાનું કહેતો. મેં આ વાતની ઘણી મજાક કરી છે પણ આ વાત હવે મને સાચી લાગી એટલે મેં ડાયરી લખીને મારો અપરાધ ભાવ આજે કિશોર સમક્ષ પ્રગટ કર્યો છે. ખબર નથી, કિશોર વાંચશે કે નહીં. કદાચ કિશોર મને જે ચાહે છે એમાં ચોક્કસ ગાબડાં પડશે. પણ એ ગાબડાં પડ્યા હશે ત્યારે હું હાજર નહીં હોઉં. મેં નક્કી કર્યું છે કે હું મારી જાતને ગોળીઓ ખાઈને સમેટી લઈશ.
દવેની આખી વાત પૂરી થયા પછી કિશોર સ્તબ્ધ થઈ જાય છે અને એ પોતાની કાર સાહેબના ઘર તરફ દોડાવે છે. ત્યાં પહોંચીને, એના દીકરાને ધકેલીને અંદરના રૂમમાં જાય છે. દવે સાહેબ શાંતિથી સૂતા છે, મોઢા પર ફીણ આવી ગયું છે. બાજુમાં ગોળીની ડબ્બી પડી છે અને લગભગ ડબ્બી ખાલી થઈ ગયેલી છે. બે ત્રણ ગોળી બહાર ઢોળાઈ ગઈ છે. ઓહ ! તો દવે સાહેબ હવે નથી રહ્યા! કિશોર ઝડપથી તેનાં મોઢાનાં ફીણ લૂછી નાખે છે, એના પુત્ર પ્રકાશને અંદર બોલાવે છે અને કોઈને કળાવવા નથી દેતો કે સાહેબે આત્મહત્યા કરી છે. માત્ર એના પુત્ર પ્રકાશને કહે છે કે સાહેબે આત્મહત્યા કરી છે પણ આ વાત કોઈને કહેવાની નથી. ડાયરીની વાત પણ એ કોઇને કહેતો નથી.
દવેની સ્મશાનયાત્રા નીકળે છે. શાહ પણ ત્યાં હાજર છે. પ્રકાશ શાહ સાહેબને જોઈને તેને વળગી પડે છે, ત્યારે શાહના શબ્દો છે કે : ‘તારા પિતા ઘણા જ હોશિયાર વ્યક્તિ હતા. આપણે બધાએ એક સરસ વ્યક્તિ ગુમાવી છે. તું એને પગલે ચાલીને સરસ માણસ બનજે. એના જેવો જ હોશિયાર થજે.’ અને કિશોરને એક બાજુ બોલાવીને પૂછે છે, ‘સાચું કહેજે કિશોર, શું થયું છે? એણે ડાયરી લખી હતી?’ કિશોર સ્તબ્ધ થઈને પૂછે છે કે, ‘તમે અંતર્યામી છો સાહેબ?’ ત્યારે શાહ સાહેબ કહે છે કે, ‘ હું એના વ્યક્તિત્વને ઓળખું છું.’ એ કોઈ પાસે કબૂલે એવો નથી. પોતાનું સામાન્યપણું એ મનમાં જ લઈને જાય એવી એની પ્રકૃતિ હતી. મને ખાતરી છે કે એણે તને કશુંક લખાણ આપેલું હશે.’ કિશોર કબુલે છે કે, ‘ હા, એમણે મને ડાયરી આપી હતી અને મેં એ આખી રાત વાંચી.’ ‘ હા, તારી આંખમાં ઉજાગરો વંચાય છે. મને લાગે છે કે એણે આત્મહત્યા કરી હશે.’ શાહે કહ્યું. ‘મને ખબર છે કે એણે ઊંઘની ગોળી લીધી હશે. તકલીફ ભોગવે એવો માણસ એ નહોતો. ઝેરનો તો તરફડાટ અનુભવવો પડે. કદાચ ચીસ પણ પડાઈ જાય. પણ દવે કુમળો હતો. એણે ઊંઘની ગોળીઓ લીધી હશે. તુલનાત્મક રીતે એ સરળ માર્ગ જ અપનાવે.’ કિશોર આ પ્રાજ્ઞ પુરુષને જોઈ રહ્યો એ માનવ મનને કેટલી આરપાર જોઈ શકતા હતા !
શાહ સાહેબ દવેનું અંતિમ મૂલ્યાંકન કરતાં કહે છે, ‘કિશોર, દવે બુદ્ધિશાળી હતો. હોશિયાર હતો પણ પ્રમાદી હતો. બધું સરળતાથી મળે તેમ ઈચ્છતો હતો. એનું બાળપણ, અભ્યાસ સામાન્ય હશે એટલે તેનાં માતા- પિતા એનાથી નારાજ રહેતાં હતાં’ કિશોર પૂછે છે, ‘સાહેબ તમને કેવી રીતે ખબર?’ ત્યારે શાહે કહ્યું. ‘ એમના મા મને મળી જતાં ત્યારે એક બે વાર એણે મને આવી વાત કરેલી.’
‘ સર, તમને એણે બહુ હેરાન કરેલા નહીં?’
‘મને લાગે છે ડાયરીમા એણે મારી માફી માગી હશે.’
વિષાદ વચ્ચે પણ કિશોરથી હસી પડાયું. સર, ‘તમે ખરેખર જિનિયસ છો!’
‘જિનિયસપણાની વાત નથી પણ મને ખબર છે કે, એ જો મને રૂબરૂ મળ્યો હોત તો માફી ન માગી શક્યો હોત. એની એ પ્રકૃતિ જ નહોતી. પણ ડાયરીમાં એણે બધી બાબત લખી હશે.’
‘હા, સર.’
‘તો તો ખરા અર્થમાં એ પ્રામાણિક નીકળ્યો; શાહે કહ્યું. ‘
‘હું જાણું છું કે એ લઘુતાગ્રંથિથી પીડાતો હતો. હોશિયાર હોવા છતાં દેખાડી દેવાની વૃતિ એનામાં પડેલી હતી, આ વૃત્તિ માણસ પાસે કશું જ કરાવી નથી શકતી બલકે એને ઝેરીલો અને ઝનૂની બનાવે છે.’
‘સર, તમે કહો તો ખરા એણે તમને હેરાન કર્યા?’
‘બેટા, એને વહેમ હતો કે હું મને તેનાથી ચડિયાતો બતાવવા પ્રયત્ન કરતો હતો. મારી શાળામાં મારો પ્રભાવ હતો અને આ પ્રભાવે જ એને ગભરાવ્યો હતો. હકીકતમાં એ મારી હાજરીમાં પોતાની નબળાઈ અનુભવતો હતો.’
‘સર, એણે તમને આચાર્ય થવા પણ ન દીધા ને?’
‘ હા, મને વહેમ તો હતો જ. શાળાને ખોટ ન ગઈ. કારણ કે સ્ટાફ પણ મને ઇચ્છતો ન હતો કારણકે એ પણ આ જ પ્રકારની નબળાઈથી પીડાતો હતો.’
કૃતિને અંતે કિશોર શાહ સાહેબ પાસે દવેનું અંતિમ મૂલ્યાંક્ન ઇચ્છે છે ત્યારે શાહનો ઉત્તર છે તેમ: “ જગતમાં બે પ્રકારના લોકો હોય છે, એક સામાન્ય અને બીજા બુદ્ધિશાળી. સામાન્ય લોકો હંમેશાં સેકન્ડ રેટર હોય છે. તેમનામાં હોંશ ઘણી હોય છે પણ લાયકાત ન્યૂનતમ હોય છે પરિણામે એ હંમેશાં અકળાતા રહે છે. તેં તો આયન રેન્ડ વાંચી છે. એને મતે સેકન્ડ રેટર કદી પણ પ્રતિભાનાં જોરે આગળ આવી ન શકે. એણે આગળ આવવા માટે પ્રથમ કક્ષાના લોકોને નુકસાન પહોંચાડવું જ પડે.’
‘કિશોરથી પુછાઈ જવાય છે, જેમ તમને પહોંચાડ્યું નહીં?’
‘ના, પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. પ્રથમ કક્ષાના લોકોને કોઈ નુકસાન પહોંચાડતું નથી. હા, બાહ્ય રીતે તમને કદાચ લાગે પણ બૌદ્ધિક સ્તરે કદી ન પહોંચી શકે. પ્રથમ કક્ષાના લોકો હંમેશાં આત્મ પ્રતિભા પર મુસ્તાક હોય છે. તેમની પ્રતિભાની મસ્તી જ એટલી જબરદસ્ત હોય છે કે બાહ્ય સિદ્ધિઓનું કોઈ મૂલ્ય એમને હોતું નથી અને બાહ્ય સિધ્ધિ સહજ રીતે મળે છે જેમ સૂર્ય સાથે પ્રકાશ હોય તેમ. અને કદાચ એ ન મળે તો પણ આ લોકોની આંતરિક રચનામાં કોઈ ફરક પડતો નથી. આ લોકો પોતાની પ્રજ્ઞાના પ્રકાશમાં જીવતા હોય છે.’
‘કોઈ અજ્ઞાત ઋષિથી માંડીને આચાર્ય વિનોબા હોય કે વિક્રમ સારાભાઈ, આવા લોકોએ જ જગતને ચલાવ્યું છે. આવા લોકો પ્રજ્ઞાવાન હોય છે અને સેકન્ડ રેટરોને આ ખૂંચે છે. એટલે એ લોકો બે કામ કરે છે – ડરપોક હોય તો નિંદા કરે છે અને આવડતવાળા હોય તો આડા આવવાનો પ્રયત્ન કરે છે. હિંમતવાન હોય તો બીજાની મદદથી આવા લોકો સામે લડે છે. આપણે ત્યાં દુર્યોધન જેવા લોકો આ પ્રકારના છે. યુધિષ્ઠિર કે ગાંધી થઈ ન શકાય પણ એમને ઉતારી પાડવા બહુ સહેલા છે. તેમની નિંદા કે વિરોધ કરી શકાય. દવે બુદ્ધિશાળી હતો. તે જાણતો હતો કે તે મારી કાંકરી પણ ખેરવી શકે તેમ નથી. એ ઈચ્છત તો કદાચ ઘણું બધું શીખી શકત પણ એ શીખી ન શક્યો એ એનું કમનસીબ હતું. દવે જેવા લોકોની હાલત કર્ણ જેવી છે – જ્ઞાન છે પણ એ પોતાની જાતને બદલાવી શકતા નથી. પોતાની પ્રતિભાનો એ દુરુપયોગ કરે છે.’
કિશોરને આ રીતે સમજાવ્યા પછી શાહ સાહેબ કિશોરની મનોદશા કિશોરને સમજાવતાં જણાવે છે ; ‘’ડાયરી વાચ્યા પછી તું આદર અને ધિક્કાર વચ્ચે ઝૂલતો હોઈશ. પણ તારા વિકાસમાં એનો ઘણો ફાળો છે. આજે તું જે છે તે એજ કારણે છે. એટલે જ આજે આ ડાયરી એ તને હચમચાવી નાખ્યો છે. શક્ય છે કે તને મારા પ્રત્યે આદર છે એટલે જ દવે પ્રત્યે તને ધિકકાર પ્રગટ્યો હશે. પણ ‘દોસ્ત બે વાત યાદ રાખ. વિવેકાનંદે કહ્યું છે કે બધું જ તેની જગ્યાએ બરાબર છે. એટલે તારે વિનોબાજીની વાત પણ યાદ રાખવાની કે ‘સાર લ્યો અને અસાર છોડો’. તને તો સરસ ફાયદો થઈ ગયો. એક બાજુ તેં એની મહત્વાકાંક્ષા સ્વીકારી અને બીજી બાજુ મારી વિચારશક્તિ. તારે શરમાવાની જરૂર નથી. તું આને કારણે ફર્સ્ટ રેટર બની શક્યો છે. તું દવે અને મારો સંગમ છો. માટે તું સંતુલિત છો. આળસને તે નકાર્યું છે. એટલે જ તારા દર્દીઓ સદભાગી છે. હવે આ ડાયરી ચૂપચાપ રાખી દેજે. પ્રકાશને ના આપજે. પુત્ર આગળ પિતાની પ્રતિમાને ખંડિત ન કરજે.
કિશોર પોતાને ઘેર જઇને બારીમાંથી જુએ છે તો આગલા દિવસે ચડેલી ફિલ્મ ‘શોલે’નું બોર્ડ ઉતરી ગયું હતું અને એની જગ્યાએ ડુબતી સ્ટીમરવાળું અંગ્રેજી પોસ્ટર ધરાવતું ‘ટાઇટેનિક’નું બોર્ડ લાગી ગયું હતું.
`સમગ્ર કૃતિ અંધકારથી પ્રકાશ ભણી ગતિ કરતી કૃતિ છે. પાત્રોને સર્જકે ખૂબ માવજતથી આકાર્યા છે. દવેની નકારાત્મકતાને પણ વાચકને ક્યાંય દુઃખ ન લાગે એ રીતે સ્વસ્થ કલમથી આલેખી છે. જેમ મહાકવિઓ પોતાના ખલનાયકને આકારે છે તેમ પૂરાં સમસંવેદન અને પૂરાં નિસબતથી.
કૃતિનું શીર્ષક ‘અંગદનો પગ’ અનેક આયામથી જોવા જેવું છે. પ્રતિભાશાળી લોકો હંમેશાં સ્થિર હોય છે. એને કોઈ ખસેડી શકતું નથી. કરુણતા એ વાતની છે કે જે ચરણોમાં માથું મૂકવાનું છે એને ખસેડવાનો સમાજ પ્રયત્ન કરે છે.
ડો. મોતીભાઇ પટેલ આ કૃતિને મૂલવતા નોંધે છે : ‘’ કિરણ દવે જેવા હજારો માટીપગા શિક્ષકો આ કૃતિ વાંચશે તો પોતાની જાતને તપાસવાની એને તક મળશે અને જ્યોતીન્દ્રો વાંચશે તો એને બળ મળશે. હા સંચાલકો તો આ વાંચવાની ધ્રુષ્ટતા જ નહીં કરે.’’
સાચા અર્થમાં આ કૃતિ અંગદનો પગ બનીને ગુજરાતી સાહિત્યમાં એનું સમર્થ સ્થાન પ્રસ્થાપિત કરી શકી છે. એની આવનારી ૨૦ મી આવૃત્તિ તેની સાક્ષી પૂરે છે. રાજ્ય સરકાર દ્વારા, જુદી જુદી સાહિત્યિક સંસ્થાઓ દ્વારા, અનેક વિદ્વાન સર્જકો દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા, અધ્યાપકો દ્વારા આ કૃતિની થયેલી કદર એને અંગદનો પગ પ્રમાણિત કરે છે.
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સપનાં : મહાન સર્જકોના સપનાં પણ તમારા મારા જેવા હોય છે. ફરક એટલો કે એ લોકો એનું અર્થઘટન અને સજાવટ અનોખી રીતે કરે છે
સંવાદિતા
આ ફિલ્મની જેમ જ કુરોસાવાની અન્ય ઘણી ફિલ્મોમાં પણ પર્યાવરણ અને તેના રક્ષણ માટેની ચિંતા વ્યક્ત થઈ છે.
ભગવાન થાવરાણી
જાપાનના અકીરા કુરોસાવાની ગણના વિશ્વના શ્રેષ્ઠતમ ફિલ્મ સર્જકોમાં થાય છે. મજાની વાત એ કે એ આપણા સત્યજીત રાયના પરમ પ્રશંસક હતા. એમણે કહેલું ‘ જેમણે આ પૃથ્વી પર જન્મ લીધો હોવા છતાં રાયની ફિલ્મો નથી જોઈ એમણે સૂર્ય – ચંદ્ર નથી જોયા . ‘ કુરોસાવાની ફિલ્મો જોયા બાદ આપણને આ જ વિધાન એમની ફિલ્મો માટે કરવાનું મન થઈ આવે !દિગ્દર્શક તરીકેની એમની કુલ ૩૧ ફિલ્મોમાંથી સૌથી જગવિખ્યાત તો છે સેવન સમુરાઈ, ઈકીરૂ ( એની વાત અહીં ક્યારેક કરીશું ), યોજિમ્બો, થ્રોન ઓફ બ્લડ, દેરસૂ ઉઝાલા અને રાશોમોન વગેરે પણ આજે વાત કરવી છે કારકિર્દીના અસ્તાચળે ૧૯૯૦માં એમણે સર્જેલી ફિલ્મ DREAMS ડ્રીમ્સની ( જાપાનીઝમાં ‘ યુમે ‘ ) એ પણ આખી ફિલ્મ નહીં, એના કુલ આઠમાંના બે પ્રકરણની.
ડ્રીમ્સમાં સ્વયં કુરોસાવાને અવારનવાર આવતા સપનાંની વાત છે. આ આઠમાંના મોટા ભાગના સપનાને જોડતી કડી છે આપણી સૃષ્ટિનું પર્યાવરણ, એમાં આપણો સ્વાર્થી અને મૂર્ખામીભર્યો હસ્તક્ષેપ તેમજ એના ભયાનક દુષ્પરિણામો. ફિલ્મના આવા દરેક ભાગની લંબાઈ માત્ર પંદરેક મિનિટની. આપણે એમાંના માત્ર પાંચમા અને આઠમા સ્વપ્નની વાત કરીએ.પાંચમા સ્વપ્નના કેંદ્રમાં સુવિખ્યાત ડચ ચિત્રકાર વિન્સેંટ વાન ગોગ છે. ( અમેરિકન લેખક ઈરવીંગ સ્ટોને લખેલી એમની જીવનકથા ‘ લસ્ટ ફોર લાઈફ ‘ નો સુંદર ગુજરાતી અનુવાદ ‘ સળગતા સૂરજમુખી ‘ નામે વિનોદભાઈ મેઘાણીએ કરેલો. ) કુરોસાવાએ આ ભાગનું શીર્ષક વાન ગોગના જ એક ચિત્ર પરથી ‘ ક્રોઝ ‘ ( કાગડા ) રાખેલ છે. આ મહાન ચિત્રકાર ૧૮૯૦માં માત્ર ૩૭ વર્ષની વયે આપઘાત કરી ગુજરી ગયા એ પહેલાં ૨૧૦૦ આસપાસ કલાકૃતિઓ સર્જી. મોટા ભાગની શ્રેષ્ઠ કૃતિઓ જીવનના અંતિમ વર્ષોમાં આપી. આટલા અમથા જીવનના પણ ખાસ્સા વર્ષો તો એમણે પાગલખાનામાં વીતાવ્યા !એક નવોદિત ચિત્રકાર ( એટલે સ્વપ્નદ્રષ્ટા પોતે ) એમસ્ટર્ડમની વાન ગોગ ગેલેરીમાં વિન્સેન્ટ વાન ગોગના ચિત્રો રસપૂર્વક નિહાળી રહ્યો છે. એમનું ચિત્ર ‘ લેંગ્લોઈસ બ્રીજ ‘ જોતાં એ કલ્પનાલોકમાં એમાં પ્રવેશી એ બ્રીજ સમીપે પહોંચી જાય છે. નદી કાંઠે કપડાં ધોતી સ્ત્રીઓને એ વાન ગોગનું ઠેકાણું પૂછે છે. એમણે ચીંધેલા રસ્તે એ વાન ગોગના સગડ શોધતો કલ્પનાઓમાં જાણે વાન ગોગે જ ચીતરેલી શ્રેષ્ઠ દ્રષ્યાવલિઓમાંથી પસાર થાય છે ( એ કમાલ સર્જી છે ‘ સ્ટાર વોર્સ ‘ ના સર્જક જ્યોર્જ લુકાસે ! ) .છેવટે ઘાસના મેદાનો વચ્ચે એને સાક્ષાત વાન ગોગ દેખાય છે. ( વાન ગોગનું પાત્ર ભજવ્યું છે જગવિખ્યાત ફિલ્મ સર્જક માર્ટીન સ્કોર્સીસે ! ) યુવક પૂછે છે ‘ તમે જ વાન ગોગ ? ‘ વાન ગોગ વિહ્વળ છે, ઉતાવળમાં છે. એ ઉતાવળ જીવી લેવાની છે, લસ્ટ ફોર લાઈફ ! એ યુવકને કહે છે ‘ જુએ છે શું ? માંડ ચીતરવા. આ અદ્ભુત દ્રષ્યાવલિ તો જો. એ જાણે સ્વયં આપણને ચીતરવાની ફરજ પાડે છે. ‘ વાત કરતાં કરતાં એમનો અજંપો ડોકાય છે. એમને કદાચ પેલું મહાસત્ય સમજાઈ ગયું છે ‘ જો ભી હૈ બસ યહી એક પલ હૈ’. એ કહે છે ‘ મારે ભાગવું પડશે. સમય ઓછો છે. ચિત્રોમાં ઝડપ લાવવી પડશે. ‘ એમના કાન પર બાંધેલો પાટો જોઈને યુવક પૂછે છે ‘ આ શું થયું ? ‘ ‘ એ તો ગઈકાલે મારું પોતાનું ચિત્ર બનાવતો હતો . કાન બરાબર ચીતરાતો નહોતો. કાપીને ફેંકી દીધો. ‘ ! યુવક અવાચક ! ‘ તેં આ સૂર્યનો ઝળહળાટ જોયો ? એ મને કશુંક સર્જવા મજબૂર કરે છે. ચાલ, તારી સાથે વેડફવા મારી સમય નથી. ‘ કહી વાન ગોગ દોટ મૂકી ભાગે છે !ફરી એક વાર વાન ગોગના વિવિધ ચિત્રોની પૃષ્ઠભૂમિ વચ્ચેથી દોડતો યુવક વાન ગોગનો પીછો કરે છે. નેપથ્યે વિખ્યાત પોલિશ સંગીતકાર ચોપીનનું સંગીત વાગ્યા કરે છે. અંતે એ આવીને થોભે છે વાન ગોગની જગવિખ્યાત કૃતિ ‘વ્હીટફીલ્ડ એંડ ક્રોઝ’ આગળ. કાગડાઓ ઝૂંડમાં ‘ કાઉ કાઉ ‘ કરતા ઊડે છે અને યુવક સંગે આપણે પાછા પરત પહોંચી જઈએ છીએ એ જ વાન ગોગ ગેલેરીમાં જ્યાંથી ‘ અંદર ‘ પ્રવેશ્યા હતા. યુવક ( અને આપણે સૌ ) હેટ ઉતારી વિંસેંટ વાન ગોગનું અભિવાદન કરે છે.આ જ ફિલ્મના આઠમા સ્વપ્ન – પ્રકરણનું શીર્ષક છે ‘ વિલેજ ઓફ વોટરમીલ્સ ‘ યાને ‘ જળચક્કીઓનું ગામ ‘. એની વાત.એક યુવાન ( એટલે એ જ સ્વપ્નદ્રષ્ટા ) નાનકડો લાકડાનો પૂલ વટાવી એક હર્યાભર્યા ગામમાં પ્રવેશે છે. ગામની વચ્ચોવચ એક ખળખળ વહેતી નદી અને એમાં ગોઠવાયેલી જળચક્કીઓ. ભૂલકાંઓનું જૂથ પસાર થાય છે અને એમાંનું દરેક બાળક આજુબાજુ ઉગેલા છોડ પરથી એક એક ફૂલ તોડી પૂલ પાસેના મોટા પથ્થર પર ચડાવતું જાય છે.આગળ એક વૃદ્ધ ( વિખ્યાત જાપાનીઝ અભિનેતા ચીશુ રયુ ) પોતાની ઝૂંપડીની બહાર બેઠો જળચક્કીનું સમારકામ કરે છે. યુવક અને વૃદ્ધ વચ્ચેનો સંવાદ જૂઓ ‘ તમારા ગામનું નામ ? ‘ ‘ કોઈ નામ નથી. એની જરૂર પણ શું ? અમે ખાલી ‘ ગામ ‘ કહીએ ‘ ‘ ગામમાં વીજળી નથી ? ‘ ‘ શું જરૂર ? ‘ ‘ રાતે અંધારું થાય ત્યારે ? ‘ ‘ રાત દિવસ જેવી ઝળહળ હોય એવું જરૂરી નથી. અંધારું હોય તો જ ચંદ્ર તારાનું સૌંદર્ય પરખાય ને ! બાકી મીણબત્તી, ફાનસ છે જ. બહુ સગવડો મળે એટલે જે જરૂરી છે એ વિસરાઈ જાય. ‘ ‘ ખેતરો માટે ટ્રેક્ટર ? ‘ ‘ ના, ગાય છે, ઘોડા છે, બળતણ માટે લાકડું છે પણ વૃક્ષો પાડીએ નહીં. જે એની મેળે પડી જાય એનું લાકડું વાપરીએ. છાણા વાપરીએ. અમે જૂના જમાનાની રીતરસમ પ્રમાણે જીવીએ છીએ. આપણે કુદરતનો જ હિસ્સો છીએ. એના પર નિર્ભર છીએ, એનો જ વિનાશ કરી સગવડો ઊભી કરીએ છીએ. કુદરતનું હાર્દ કોઈ સમજતું નથી. એવી શોધો કર્યે જઈએ જે આખરે અસુખ સર્જે છે. માણસ માટે સૌથી જરૂરી ચીજ ચોક્ખી હવા અને પાણી છે. અને હરિયાળી પણ જે એમને ચોક્ખા રાખે. બધું પ્રદૂષિત કરતા જઈએ છીએ, જેનાથી મન પણ મલીન થાય. ‘‘ અને પેલો પથ્થર ? ‘ ‘ બહુ પુરાણી વાત છે. ગામમાં આવેલો કોઈક પ્રવાસીએ પુલ આગળ જ દમ તોડી દીધો. ગામલોકોએ એને ત્યાં જ દફન કરી એની સ્મૃતિમાં આ પથ્થર મૂક્યો. હવે પસાર થતા બધા લોકો ત્યાં ફૂલ ચડાવે એવી પ્રથા પડી ગઈ.’અચાનક સંગીતના સથવારે પસાર થતા સરઘસનો અવાજ સંભળાય છે. ‘ આ શેનો ઉત્સવ ? ‘ ‘ એ સ્મશાનયાત્રા છે. એક સ્ત્રી નવાણું વર્ષે ગુજરી ગઈ છે. ઈમાનદારીપૂર્વકનું જીવન જીવી મરી જવું એ પણ સુખ જ છે. અમે એની ઉજવણી કરીએ. અમારા ગામમાં કોઈ મંદિર કે પૂજારી નથી. ગામલોકો પોતે જ મૃતદેહને ટેકરી પર લઈ જાય. હા, કોઈ બાળક કે યુવાન મૃત્યુ પામે એ દુખદ. પણ અહીં મોટા ભાગના લોકો પાકટ ઉંમરે મરે.’ વૃદ્ધ ઉમેરે છે કે મરનાર સ્ત્રી એમની પ્રેમિકા હતી. એમને પણ ૧૦૩ વર્ષ થયા છે. એ ઝૂંપડીમાં જઈ વગાડવા માટે ઝાંઝ લઈ આવે છે. ‘ મારે ઉત્સવમાં શામેલ થવા જવું પડશે. જિંદગી ખરેખર ખૂબસૂરત છે. જીવતા હોવા જેવું કોઈ સુખ નથી. ‘
યુવક આનંદમિશ્રિત વિસ્મયથી પસાર થતા સરઘસને અને અને એના મોખરે ઝાંઝ વગાડી નાચતા પેલા વૃદ્ધને જોઈ રહે છે.એ ગામ છોડી જવા નીકળે છે. કશુંક યાદ આવતાં પાછો ફરે છે. છોડ પરથી ફૂલ તોડી પેલી સમાધિ ઉપર ચડાવે છે. એ પોતે પણ પેલા મુસાફરની જેમ ગામમાં અનાયાસ આવી ચડેલ એક વટેમાર્ગુ જ હતો ને !ગામની નદીમાં પાણી ખળખળ વહેતું રહે છે. જીવનની જેમ.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
