-
ઓળખની જેલના કેદીઓ
મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
આખેઆખું મહારાષ્ટ્ર જેમની પાછળ ઘેલું થયું હતું તેવા ચોસઠ કળાના જાણકાર તથા પુ લ દેશપાડે નામે જાણીતા લેખકે પોતાના એક લેખમાં હાસ્યલેખકના દુ:ખો વર્ણવ્યા છે. કોઇ ગંભીર લેખમા પણ વાચકો તેમની પાસે હાસ્યરસની જ અપેક્ષા રાખતા હોય છે. માત્ર લેખમાં જ નહિ પરંતુ કોઇ ગંભીર વિષયના પ્રવચનમાં પણ લોકો ‘ક્યારે પેલો હસવાવાળો ભાગ આવે’ તેની જ રાહ જોતા હોય છે.
મારી પોતાની જ વાત કરું તો મેં હળવા કરતા ગંભીર લખાણો વધારે લખ્યા છે. પણ વાચકો મારા ગંભીર લખાણોને ગંભીરતાથી લેતા નથી. મારા હળવા લેખોને જ તેઓ માન્ય કરે છે. આમ તો મેં લખવા ઉપરાંત ભાષણ કરવાના પણ પ્રયાસો કર્યા છે જેનો મારો તથા શ્રોતાનો અનુભવ ભાગ્યેજ સુખદ રહ્યો છે. જ્યારે પણ પ્રવચન કરું છું ત્યારે મારાંમાં ગીતાના પ્રથમ અધ્યાયનો અર્જૂન પ્રવેશી જાય છે. અર્જુનના હાથમાંથી ગાંડીવ સરી જાય છે તેમ મારા હાથમાંથી કાગળ સરી જાય છે. અર્જૂનના સમગ્ર ગાત્રો ધ્રૂજે છે જ્યારે મારા બધાજ ગાત્રોની ધ્રૂજારી માત્ર મારા પગમાં કેન્દ્રિત થઈ જાય છે. ભાષણના નવા નિશાળિયા અને ચરણનાં કંપનને શો સબંધ છે તે મને આજસુધી સમજાયુ નથી. કોઇ ડોકટર કે મનોવિશ્લેષક ક્યારેક આ કોયડાનો ઉકેલ લાવશે. હાલ તો દુ:ખે પેટ અને કૂટે માથુ, ખાય મોં અને લાજે આંખો એ કહેવતોમાં બોલે જીભ અને ધ્રૂજે પગ એ કહેવત ઉમેરું છું.
મારા આવા એક ગંભીર પ્રવચનને અંતે શ્રોતાઓએ મને ફરિયાદ પણ કરી કે તમારા પ્રવચનમાં મજા ન આવી કેમ કે તેમાં હસવા જેવું કશું હતું જ નહિ. (શ્રોતાઓએ મારા હાથમાંથી કાગળ સરી જવાથી તથા મારા ચરણકંપનોથી તેમને થયેલી રમૂજ તેમના વિવેકની સહાયથી ગુપ્ત રાખી હશે) ટૂંકમાં કોઇપણ હાસ્યલેખક કે વક્તા હાસ્યકારની ભૂમિકામાંથી બહાર આવવા પ્રયાસ કરે તો લોકો જબરદસ્તીથી તેમને હાસ્યકારની ઓળખના પિંજરામાં ધકેલી દેતા હોય છે.
માત્ર હાસ્યલેખકો બાબતે જ નહિ પરંતુ ઘણીબધી ઓળખો બાબતે આવું બનતું હોય છે. શરૂઆત બાળપણથી જ થાય છે. કેટલાક વાલીઓ પોતાના બાળક માટે કહેતા હોય છે “અમારો ડીકો તો બહુ જ ડાયો છે” જો આ સાંભળીને ડીકો પોતાના ડાયાપણાને સ્વીકારી લે તો તેનું આવી જ બન્યું સમજો. અન્ય બાળકો જ્યારે ધીંગામસ્તીનો આનંદ લેતા હોય છે ત્યારે જેમ ડાયાબિટિસનો દર્દી કોઈને મીઠાઇ ખાતા જોઈ રહે છે તેમ પેલું બાળક પોતાનાં ડહાપણના લેબલવાળા પિંજરામાં મોં વકાસીને બેસી રહે છે. આવું જ (અભ્યાસમાં) હોંશિયાર કહેવાયેલા બાળક સાથે બને છે. અન્ય બાળકો જ્યારે રમતગમત કે અન્ય બાળસહજ પ્રવૃતિ કરતા હોય છે ત્યારે આ હોંશિયારે તો ચોપડી પકડીને જ બેસી રહેવું પડતું હોય છે.
ઘણાબધા લોકો પોતાની ઓળખને એટલી દૃઢ બનાવી દે છે કે તેમને પિંજરામાંથી બહાર નીકળવાથી પોતાનું અસ્તિત્વ જ ભુંસાઈ જવાનો ડર લાગે છે. સાદગીના પિંજરામાં પુરાયેલાને થોડો વૈભવ માણવાની લાલચ થાય તો ચૂસ્ત શાકાહારીને આમ્લેટ ખાવાનું મન થવાથી થાય તેવો અપરાધભાવ થાય છે. આ ઉપરાંત પોતે લોકનજરે જે કાંઈ છે તે પોતાની સાદગીના કારણે જ છે એવી ભ્રામક માન્યતાને કારણે પોતાની સાદગી નામની જેલમાંથી બહાર નીકળતા નથી.
સ્વ. વિનોદ ભટ્ટે ‘વિનોદની નજરે’ નામના પોતાનાં પુસ્તકના આદિલ મન્સૂરી વિશેના લેખમાં એક પ્રસંગ ટાંક્યો છે. આદિલ મન્સૂરીએ રાત્રે બે વાગ્યે કોઇ કોલેજના પ્રિન્સિપાલને ફોન કર્યો. પેલા પ્રિન્સિપાલ ફોન ઉઠાવીને બોલ્યા “હું પ્રિન્સિપાલ ‘ફલાણો’. બોલો શું કામ છે?” આદિલે તેમને કહ્યું કે રાત્રે બે વાગ્યે પણ આપ પ્રિન્સિપાલ છો એ ભૂલતા નથી?!
અમારા એક મિત્ર માટે તેમના ધર્મપત્ની તો જ્યારે અને ત્યારે કહેતા જ હોય છે “આમારે એમને તો કાયમ સાચું કહેવા જોઈએ” આ રીતે તેમણે પોતાના કંથને સત્યવાદીના પાંજરામાં પૂરી દીધા. મિત્રની એવી માન્યતા છે કે સાચું બોલતી વખતે કોઈને માઠું લાગે તો તેની પરવા કરવી ન જોઈએ. કાળક્રમે કોઈ શબ્દ બાબત બને છે તેમ આ માન્યતા પણ અપભ્રંશ પામીને ‘કોઇને માઠું લગાડીએ તો જ સાચું બોલ્યા કહેવાય’ એ પ્રકારનાં સત્યમાં પરિણમી. આથી મિત્ર હંમેશા એવા વચનની શોધમાં રહે છે કે જે વદવાથી કોઇને માઠું લાગે!

લોખંડી મુખૌટામાં છુપાયેલો માણસ – ભુલે ચુકે પણ જો પોતાની ઓળખ છતી કરી દે તો માથું વાઢી નાખવામાં આવશે એવી સ્થિતિમાં કેદની સજા ભોગવતો કેદી
સાંદર્ભિક તસવીર – સ્રોતઃ Unmasking the ‘man in the iron mask’: do we know the identity of the famous prisoner? – Josephine Wilkinsonકેટલાક લોકોનો અન્યને કોઇ પાંજરામાં પૂરી દેવાનો હેતું પોતાનો ફાયદો મેળવી લેવાનો હોય છે. ઘણી વાર એવું બને છે કે મિત્રો ભેગા મળીને પોતાનામાંથી એકને વારેવારે કહેતા હોય છે કે તમે તો ખૂબ ઉદાર છો. આમ તેમના પર ઉદાર વ્યક્તિનું લેબલ મારીને ઉદારતાના પિંજરમાં પૂરી દે છે. પેલા ભોળા મિત્ર તેમાં આબાદ સપડાઈ જાય છે. આથી જ્યારે બધા મિત્રો હોટેલરેસ્ટોરેન્ટમાં જાય ત્યારે બિલ તો પેલા ઉદાર મિત્રને જ ચૂકવવું પડે છે!
લાચાર હોવાથી મહિલાઓએ યુગોથી અન્યાય સહન કરતા રહેવું પડ્યું છે. પછી સ્વાર્થી પણ ચાલાક પુરુષ જાતિએ સૂત્ર વહેતું મૂક્યું ‘સ્ત્રી તો સહનશીલતાની મૂર્તિ છે.’ મોટાભાગની મહિલાઓએ આ સ્વીકારી લીધું અને આજે પણ તેઓ સહનશીલતાની જેલમાં કેદી તરીકે જીવન ગાળે છે.
સભ્ય સમાજમાં કેટલીક જેલો માણસોને જન્મતાની સાથે જ મળતી હોય છે. આવી સૌથી મોટી અને વિશિષ્ટ જેલ ધર્મ નામે ઓળખાય છે.(આચાર્ય, ભગવાન અને ઓશો એમ ક્રમસર ઉત્ક્રાંતિ પામેલા રજનીશના મત મુજબ આ પ્રકારની કુલ ત્રણસો જેલો છે.) આ દુનિયામાં પ્રવેશતાની સાથે માણસ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ કે પારસી નામની કોઇપણ જેલમાં પૂરાઈ જાય છે. માત્ર એટલું જ નહિં આગળ જતા આ પ્રકારની જેલના કેદીઓ પોતાની જેલને જ સાચું સુખધામ માને છે અને અન્ય જેલના કેદીઓ દોજખમાં પડશે એ બાબતે ચિંતિત રહે છે. સામાન્ય જેલોના જેલરો પોતાની જેલમાં ભીડ ઓછી થાય તેમ ઈચ્છે છે પરંતુ, ધરમની જેલના જેલરો તો પોતાની જેલમાં વધુ ને વધુ કેદીઓ આવે તે હેતુથી અન્ય જેલના કેદીઓની બદલી પોતાની જેલમાં કરાવવા સતત પ્રયાસો કરતા હોય છે.
ધર્મના લેબલ ધરાવતી જુદી જુદી જેલોના કેદીઓ વચ્ચે ભીષણ સંગ્રામોથી ઇતિહાસનાં પાના ભરેલા છે. વળી જોવાની ખૂબી એ પણ છે કે આ જેલોની અંદર પણ સંપ્રદાયો નામના અલગ અલગ વોર્ડ હોય છે. સામાન્ય જેલના લોકો ખાસ કારણ વિના અન્ય વોર્ડના કેદીઓ સાથે લડતા નથી હોતા અને ક્યારેક તો તેમની વચ્ચે ભાતૃભાવ પણ હોય છે પરંતુ અહીં સંપ્રદાયના વોર્ડના દરેક કેદીને અન્ય વોર્ડના કેદી સાથે હંમેશા પિતરાઈનો ખાર હોય છે. આવુ જ રાષ્ટ્રીયતા બાબતે છે. માણસ જે દેશમાં જનમ્યો તે દેશના રાષ્ટ્રવાદનો કેદી બનીને રહે છે. દરેક દેશનો યુધ્ધખોર નેતા જાણે છે કે નાગરિકોને આ પ્રકારની જેલમાં કેદ કર્યા વિના યુધ્ધો થઈ શકતા નથી
મારા એક પરિચિત વ્યક્તિ જાણે કોઇ સંપ્રદાયની કંઠી પહેરી લીધી હોય તે રીતે રેશનાલિસ્ટ બની ગયા છે. જેમ સાચા ભકતને ભગવાનનું સતત સ્મરણ રહે. તેમ આ મિત્ર પોતે રેશનાલિસ્ટ છે તે વાત ક્ષણભર પણ ભૂલતા નથી. તેમના મિત્રોના નામ ઇશ્વરભાઈ, પ્રભુદાસ, રામલાલ કે કિસનભાઈ હોવામાં પણ તેમને પોતાનું રેશનાલિઝમ વટલાઈ જતું હોય તેમ લાગે છે. કોઈ અંધશ્રદ્ધાળુંને પ્રસ્થાન કરતી વખતે બિલાડી આડી ઉતરવાથી જેવી લગણી થાય તેવી જ લાગણી આ ભાઈને રસ્તામાં મંદિર, મસ્જિદ કે ચર્ચ આવે તો થાય છે. આમ તેઓ રેશનાલિઝમના પિંજરામાં -અલબત રાજીખુશીથી -પુરાઈ રહ્યા છે.
વિચાર અને ધારા એ બે શબ્દોથી બનેલા શબ્દ વિચારધારામાં ઉત્તર પદ ધારા તો વહેવાની કે ગતિશિલતાની દ્યોતક છે. પરંતુ વહેવારમાં તો તેમાં બંધિયારપણું જ દેખાતું હોય છે. વળી સૌથી વધારે કહેવાતા બુદ્ધિજીવી કેદીઓ આ વિચારધારાઓની જેલોમાં હોય છે. કોઇ સામ્યવાદી તો કોઈ મૂડીવાદી, કોઇ લોક્શાહીનો પુરસ્કર્તા તો કોઇ સરમુખત્યારશાહીનો, કોઇ પરંપરાવાદી તો કોઇ પરંપરાભંજનનો આગ્રહી બનીને પોતાના માટે જેલ ઊભી કરી દેતો હોય છે. ક્યારેક મુક્તપણે વિચારતા આ જેલમાં કોઇ બારી દેખાય તો અંતરાત્માને ચૂપ કરી દઈને ઠીક લાગે તેવી દલીલ વડે તેઓ બારી જાતે જ બંધ કરી દે છે.
વર્ષોથી ગુલામી ભોગવતા દેશ કે વ્યક્તિને જેમ ગુલામી કોઠે પડી જાય છે તથા તેની બહાર નીકળવામાં અસલામતી લાગે છે તેમ ઓળખની જેલમં પૂરાયેલા કેદીઓને બહાર નીકળવામાં પોતાનું અસ્તિત્વ જોખમમાં આવી જવાનો ડર લાગે છે. ઉપરાંત જેમ અદ્વેતવાદી આત્મા અને પરમાત્માંમાં ઐક્ય જુએ છે, જેમ ભ્રમરનું ચિંતન કરતો કિટક પોતે ભ્રમર બની જાય છે તેમ આ કેદી પિંજર સાથે તાદાત્મ્ય અનુભવે છે. પિંજરે પૂરાયેલા પક્ષીને લાંબે ગાળે મુકત ગગન શું છે તેની જાણ નથી હોતી તેમ આપણા આ કેદીઓને પણ બહારની દુનિયા બાબતે ખ્યાલ નથી હોતો.
આમ કુદરતે માનવીને અનંત બ્રહ્માંડ આપ્યું છે, તો પણ તેણે વિકાસના ઉપક્રમમાં જેલો બનાવી દીધી છે. કોઇને સમાજ ઓળખની જેલમાં રાખી મૂકે છે તો કોઈ જાતે જ આવી જેલના કેદી બનીને રહે છે. આધ્યાત્મિક માર્ગોમાં મુક્તિ માટેના જે પણ ખ્યાલો હોય પરંતુ જેને ફાની કહીએ છીએ તે દુનિયામાં તો ખરેખરી મુક્તિ આપણી ઓળખની જેલમાંથી બહાર આવીને “સિતારો સે આગે ભી જહાં હૈ” એ સત્યનો સ્વીકાર કરવામાં છે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
વેડછી પ્રયોગના પર્યાયપુરુષ ‘જુગતરામ દવે!’
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
જો તજોતામાં વેડછી સ્વરાજ આશ્રમને સો વરસ થઈ ગયાં! તેરમી મેના રોજ અશોક ચૌધરી અને સાથીઓના સદભાવથી આ શતવર્ષી નિમિત્તે ‘સ્વરાજની સંકલ્પના’ આસપાસ થોડા વિચારો રજૂ કરવાનું બન્યું ત્યારે સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વરાજ નિર્માણના દાયકાના દાયકા ચિત્તપટ પર કેમ જાણે ચિત્રપટ પેઠે ઊતરી આવ્યા હતા. ઘણી વાર એમ લાગે છે કે આપણે વિસ્મૃતિના અજબ જેવા દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ.
આ લખું છું ત્યારે સાંભરે છે કે ગુજરાતના અલગ રાજકીય એકમની સ્થાપનાને પચાસ વરસ થયાં તે નિમિત્તે ૨૦૧૦માં રાજ્ય સરકારે તંત્ર મારફતે ગામોગામ ઠામોઠામ ઉજવણીનો પરિપત્ર કાઢેલો. શું શું કરી શકાય, એના એક સૂચન રૂપે એમાં ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક રવિશંકર મહારાજને યાદ કરવાનીયે વાત હશે એટલે સુરત કને કોઈ તાલુકા મથકે જે પ્રસંગનું આયોજન થયું એમાં શ્રી શ્રી રવિશંકરની છબિ મૂકાયાના હેવાલો હતા. કેમકે વેડછી પંથકની વાત કરું છું, સુરત ભણીનો આ દાખલો લગરીક શૂળ પેઠે સાંભરી આવ્યો. પણ આવાં દૃષ્ટાંત તમને વડોદરા-અમદાવાદ-રાજકોટ આસપાસ નહીં જ જડે એમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી.
ગમે તેમ પણ, આપણે વેડછીની વાત કરતા હતા- એ વેડછીની, જેનો સોજ્જો અભ્યાસ ગુજરાતના શીર્ષ સમાજશાસ્ત્રી આઈ. પી. દેસાઈએ વારાણસીના ગાંધિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટડીઝના કહ્યે હાથ ધર્યો હતો.
વેડછી આમ તો જૂના વારાના સુરત મહાલનું કહો કે છેવાડાનું ગામ. સ્વરાજ ચળવળમાં વધારે ચમકેલું નામ બારડોલીનું, જેણે વલ્લભભાઈને ‘સરદાર’ બનાવ્યા. એ તો જોકે જરી મોડેથી, ૧૯૨૮માં, પણ જેમાં વલ્લભભાઈની હૂંફે પણ જુગતરામ દવે જેવાના તપે સાંસ્થાનિક સંક્રાન્તિમાંથી સ્વરાજ નિર્માણનો રોડમેપ કહેવાય એવું કાંક ઉપજાવી જાણ્યું એ તો બારડોલીથીયે વળી અંતરિયાળ વેડછી: ત્યાંથી જે બની આવ્યું તે સમાજશાસ્ત્રી આઈ. પી.ના શબ્દોમાં ‘વેડછી મુવમેન્ટ’ (વેડછી આંદોલન) એવી ઓળખ પામ્યું છે.
કોણ હતા આ જુગતરામ જે વેડછી પ્રયોગના પર્યાયપુરુષ રૂપે ઉભર્યા?
મૂળ લખતરના પણ દક્ષિણ ગુજરાતમાં વેડછીના વતની થઈને રહ્યા, જેમ હળવદના બબલભાઈ ખેડા પંથકમાં થામણાના થઈને રહ્યું. કરાંચીમાં ઉચ્ચ ભણતરની તક હતી, પણ ‘કાલેલકરના લેખો’ વાંચ્યા પછી ગામડું સાદ દેતું હતું- અને એ બબલભાઈને છેવટ જતાં થામણા લઈ ગયું. જુગતરામ મુંબઈના હાજી મોહમ્મદના ‘વીસમી સદી’માં કામ કરતા હતા ત્યાંથી સ્વામી આનંદના સંપર્કે કાલેલકર પાસે પહોંચ્યા અને ગ્રામસેવા ને શિક્ષણના ક્ષેત્રે સ્વરાજ સૈનિક થઈને રહ્યા.
બારડોલી અને ખેડૂતોની વાત આપણે એક ઈતિહાસવસ્તુ તરીકે ખાસી કરતા હોઈએ છીએ, પણ એને અતિક્રમીને વેડછીની વાત કરીએ ત્યારે આપણા ભારતીય સમાજમાં જે આખાના આખા પ્રજાવર્ગો લગભગ છૂટી ગયા જેવા હતા- પેલું કહે છે ને કે દસાડા દફતરમાં નામ જ નહીં, એવું કાંક- તે પૈકી આદિવાસીઓ પણ છે સ્તો. આમ તો એ કાળી પરજ તરીકે ઓળખાય પણ સમાનતાલક્ષી નવયુગી સંદર્ભમાં એમને વાજબી રીતે જ ‘રાની પરજ’ શી નવી ઓળખ મળી. જે કેટલાક સ્વરાજ સૈનિકોએ આ રાની પરજમાં ભળી જઈ જાગૃતિ અને નવસંસ્કારનું કામ કીધું, એમાં જુગતરામ દવે (આમ તો ધીરે ધીરે એ જુ’કાકા એટલે જુગતરામ કાકા તરીકે પંકાયા) એક મોખરાનું નામ છે.
ખેડૂતોની વાત આપણે કરીએ છીએ પણ જમીનદારો તળે ચંપાતા હાળીઓની તો વાત જ કરતા નહોતા. આદિવાસીઓ વચ્ચે રચનાત્મક કામ અને પાયાના શિક્ષણ વાટે જુગતરામ કાકા અને સાથીઓએ હાળીને હળપતિ બનાવ્યા. એમને શિક્ષિત કરવાની કોશિશે સ્વાતંત્ર્ય લડતના સમર્થક સમ્પન્નોને ચિંતામાંયે નાખ્યા હતા કે આ લોકો ભણશે તો આપણાં કામ કોણ કરશે. એમની જાગૃતિ વર્ગસંઘર્ષ નો’તરશે એવીયે ફરિયાદ સરદાર સુધી પહોંચી હતી. સરદારે જોકે ફરિયાદીઓને સમજાવ્યું કે જુગતરામ ને બીજા છે તો ન્યાય ને સમન્વયની એમની રીતે સંઘર્ષ નિવારી શકાશે. કેટલીક વાર જુગતરામ અને એમના સાથીઓએ ઉજળિયાતોનો વિરોધ વેઠીને સમજાવટ છતાં મક્કમતા સાથે કામ પણ લીધું હશે.
તમે જુઓ, આ જે જાગૃતિ આવી, ખાદી કામની સંગઠના થઈ, જંગલ સહકારી મંડળીઓ બની, શિક્ષણ પ્રસર્યું, આદિવાસી બાળકોના સરળ સામાજિકીકરણની કોશિશ રૂપ ‘બાલવાડી’નું હવે ભારતસ્વીકૃત દૃષ્ટાંત ઉભર્યું, ગાંધીની સ્વરાજ લડત સાથે આદિવાસી જાગૃતિની અનોખી ગાંઠ બંધાઈ, કેટલી મોટી વાત હશે !
ઉમાશંકર જોશીએ એકવાર જુ’કાકા વિશે વાત કરતાં જયપ્રકાશને જરા જુદી રીતે સંભાર્યા હતા કે પોતે એમને મળ્યા ત્યારે જેપીએ પૂછ્યું કે હમણાં કોઈ નવી રચના? તો, હિંદીમાં ‘રચના’ એ પ્રયોગ કોઈ કૃતિ માટે તેમ પ્રત્યક્ષ કાર્ય એમ બેઉ અર્થમાં થાય છે: ઉમાશંકરે કહ્યું જુ’કાકા અમારામાંથી છટકી ગયેલા રચનાકાર છે. કેવળ એક જ રચના ‘અંતરપટ આ અદીઠ’ થકી પણ એ કવિ તરીકે સુપ્રતિષ્ઠ થઈ ગયા હતા. પોતે જેલમાં છે એટલે ભીંતની આડશને એમણે અંતરપટ કહી છે. આ અંતરપટ, મને લાગે છે, કથિત ઉજળિયાત અને આદિવાસી વચ્ચેનુંયે છે. તે ગયા વિના ‘ચેન પડે નહીં ચિત્ત’ એવો ઘાટ છે.
જોકે, જુગતરામ કાકાના જીવનકાર્યને સંભારું ત્યારે રવીન્દ્રનાથની એમણે ગુજરાતીમાં ઉતારેલી રચના મને હંમેશ પ્રધાનપણે સાંભરે છે:
ચરણ આપના ક્યાં વિરાજે…
નીચાંમાં નીચાં, દૂબળાં બાપડાં જ્યાં-
ચરણ આપના ત્યાં વિરાજે, ચરણ આપનાં ત્યાં!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૨ – ૦૫ – ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક છઠ્ઠો: પ્રવેશ ૨

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક છઠ્ઠો: પ્રવેશ ૧ થી આગળ
પ્રવેશ ૨ જો
[જગદીપ અને દુર્ગેશ વાતો કરતા પ્રવેશ કરે છે. ]
દુર્ગેશ : તે પછી તમે એને દીઠી જ નથી?
જગદીપ : ફક્ત એકવાર દીઠી છે. હોડીનો એ અકસ્માત બન્યો તે દિવસે હું કોટ બહાર આવ્યો, પછી તરત નદી પરનો ઝૂલતો ઝાંપો તૂટ્યો હતો ત્યાંથી સાંધી લેવામાં આવ્યો. સાંજ સુધી હું ત્યાં રહ્યો, પણ કોઈ જણાયું નહિ. જે ચંબેલીના છોડ આગળથી હોડી પ્રથમ ડૂબતી મારી નજરે પડી હતી ત્યાં બીજે દિવસે સવારે મોટો મગરમચ્છ મરેલો પડ્યો હતો. તે જોવા એ યુવતી પરિચારિકાઓ સાથે બહાર આવી હતી. આઘેથી તેમને જોઈ તેમને
પાછા ફરવાના માર્ગ પર આવેલા શિવાલયના ઓટલા પર જઊને હું બેઠો. પાસે અવતાંપરિચારિકાઓએ મને જોઈ મારા ભણી રોષભરી દૃષ્ટિ કરી.
દુર્ગેશ : અને એ યુવતીએ ?
જગદીપ : એ તો
(ઈન્દ્રવિજય)
ચાલી ગઈ મુજ આગળથી મુખ રાખિ નિચું, હઇયું ઉભરાતું,
થોભિ અગાડિ જઈ લટને અમથી જ સમારિ કરી મુખ પાછું;
ને જરિ ચોરવિ દૃષ્ટિ કરી મુજ સામિ, પછી, મુખને મલકાવ્યું,
પાછિ ફરી પછિ ચાલિ ગઈ, દઈ સંશય-શું કંઈ સ્વપ્ન જ આવ્યું ? ૭૦દુર્ગેશ : અને, હવે સ્વપ્નાવસ્થા ચાલે છે કે સંશયાવસ્થા ?
જગદીપ : મારી વિહ્વલતા હાસ્યપાત્ર ભાસતી હશે, પણ તેનો ઉપાય એ યુવતીના પુનર્દર્શન વિના બીજો એકે નથી.
દુર્ગેશ : એનું નામ કાંઈ જાણવામાં આવ્યું ?
જગદીપ : એના નામથી શબ્દથી મારા કર્ણ ધન્ય થયા નથી. એની એક પરિચારિકાનું નામ લેખા છે.
દુર્ગેશ : સ્વામીથી સેવક ઓળખાય કે સેવકથી સ્વામી ઓળખાય ?
જગદીપ : જગતના બધાં સિદ્ધાંતો મારી સ્મૃતિમાંથી ખસી ગયા છે. મને યાદ આવે છે કે લેખાએ એને ‘કુંવરીબા’ કહી હતી.
દુર્ગેશ : ‘કુંવરીબા’? અહીં તો કોઈ કુંવરી નથી. પર્વતરાયને પ્રથમનાં રાણીથી એક કુંવરી હતી. તે તો કેટલાંક વર્ષ પર કાંઈ ભેદભરેલી રીતે ગુજરી ગઈ. અને ‘કુંવરી’ કહેવાય એવી કોઈ બાલા અહીં છે જ નહિ.
જગદીપ : ત્યારે આ મહેલમાં કોણ રહે છે ?
દુર્ગેશ : એ મહેલમાં કોઈ કાયમ રહેતું નથી. એ મહેલ રાણીસાહેબના ખાસ તાબામાં છે, અને તેઓ કોઈ વખત અહીં આવે છે. એમની રજા સિવાય કોઈ એ મહેલમાં જઈ શકતું નથી. એ મહેલની વ્યવસ્થા અને ખર્ચ પણ લીલાવતીને હસ્તક છે. મંત્રીશ્વરને પણ એ સંબંધે કાંઈ વ્યવહાર કરવાનો નથી; બધું લીલાવતી જ કરે છે. એ યુવતી તે લીલાવતી તો નહિ જ?
જગદીપ : બેશક નહિ. એનું વય લીલાવતીથી કાંઇક ઓછું છે, પણ એનું સૌન્દર્ય લીલાવતીથી સહસ્ત્રગણું વધારે છે. લીલાવતીને મેં જોઈ ત્યારે તેનું સૌન્દર્ય મને અનુપમ લાગેલું, પરંતુ હવે મને સમજાયું કે ઉપમાનોના વિશાળ સંગ્રહનો ચિત્તમાં સંચય કર્યા વિના ‘અનુપમ’, ‘અતુલ્ય’, ‘અપૂર્વ’, સર્વોત્કૃષ્ટ’, ‘અલૌકિક’ એવાં વિશેષણો વાપરવા એ માત્ર મૂર્ખતાનો આડંબર છે; પણ એ અજ્ઞાત સુન્દરીનું વર્ણન કરવા માટે વિશેષણ કે ઉપમાનોની જરૂર જ નથી.
(હરિગીત)
શું ધરતી કે શું પાણિ કે શું પવન કે શું માનવી,
જે જે ઘડીએ ધન્ય થાતું એહના સંસર્ગથી
તે તે ઘડીએ દાખવે સૌન્દર્ય પોતાનું ઉંડુ,
ને તૂટતો સંસર્ગ જ્યાં કદ્રપ ત્યાં તે થઇ જતું. ૭૧એ નિશાની એને ઓળખવાને બસ છે.
દુર્ગેશ : એવી કોઇ સ્ત્રી આ દેશમાં વસતી હોવાનું કમલા જાણે છે કે કેમ તે હું પૂછી જોઈશ. પુરુષોને ખબર ન હોય, પણ સુન્દર સ્ત્રીની સ્ત્રીઓને ખબર ન હોય એમ બનતું નથી. પણ અત્યારે આપણે બન્ને તપાસ કરીએ. કોઈ નોકર ચાકરો મહેલના કોટમાં જતા આવતા નજરે પડ્યા છે?
જગદીપ : બીજી વાર એ સુન્દરી જોઈ ત્યાર પછી હું મહેલને ચારે તરફ ફરી વળ્યો છે. પાંચ દિવસથી એ પ્રદક્ષિણા કરું છું. તરાપો બનાવી તે પર નદી ઓળંગી બન્ને પારના કોટના એકેએક દ્વાર આગળ વાટ જોઈ બેઠો છું, પણ કોઈ દ્વાર ઊઘડતું નથી ને કોઈ માણસ નીકળતું નથી કે પેસતું નથી. માત્ર અત્યારે કોટાનું આ મુખ્ય દ્વાર ઊઘડે છે, તેમાંથી અંદર રહ્યું રહ્યું કોઈ એક રાતી ગાયને બહર કાઢે છે ને એક રબારી બહારથી દરવાજા આગળ આવે એ ગાયને ચરાવવા લઈ જાય છે. સાંજે તે ગાયને પાછી દરવાજા આગળ લઈ આવે છે ત્યારે દરવાજો ઉઘડે છે. દરવાજા આગળ અંદરથી કોણ આવે છે તે જણાતું નથી, અને રબારી દરવાજાથી આઘો ઊભો રહે છે.
દુર્ગેશ : રબારી સવારે ક્યારે આવે છે ?
જગદીપ : હવે વખત થયો છે, અને તે જ માટે હું આ તરફ આવ્યો છું. સવારસાંજ દરવાજો ઊઘડતો જોવાનો સંતોષ મેળવું છું.
દુર્ગેશ : એથી કાંઈ વધારે સંતોષ મેળવવાનો માર્ગ કદાચ એ પ્રસંગે જડી શકશે.
જગદીપ : શી રીતે ?
દુર્ગેશ : એ યુવતીના દૃષ્ટિપાત અને સ્મિતનો જે વિભ્રમ તમે વર્ણવ્યો તે પરથી જણાય છે કે એનું હ્રદય તમારામાં આસક્ત થયું હોવું જોઈએ, અને એ પણ તમારા દર્શન માટે ઉત્કંઠિત થઈ હોવી જોઈએ.
જગદીપ : એવાં અનુમાન બાંધ્યાથી શું હાથમાં આવ્યું.
દુર્ગેશ : પ્રેમમાં પણ ધીરજ વિના ચાલે તેમ નથી. અનુમાન બાંધ્યાથી તો સ્વર્ગનો માર્ગ પણ હાથ લાગે છે. તમે
ઉત્કંઠિત થઈ બહાર ફરતા હશો એમ પણ એ યુવતી ધારતી હોવી જોઈએ. અને, માત્રા આજ દ્વાર ઉઘડે છે અને તેમાંથી આ ગાય બહાર આવે છે એ સ્થિતિ તો એ જાણતી જ હોવી જોઈએ. તો એ ગાય બહાર આવવાના પ્રસંગે એ કાંઇ સંદેશ મોકલવાનો પ્રયત્ન કરે એમ કેમ ન બને?
જગદીપ : જુઓ પેલો રબારી આવે છે ને દરવાજા તરફ જાય છે.
[રબારી આધેથી પ્રવેશ કરે છે.]
પેલો દરવાજો ઊઘડ્યો, અને ગાય બહાર આવી, દરવાજો પાછો વસાઈ પણ ગયો.
દુર્ગેશ : ગાય રળિયામણી દેખાય છે. એને ગળે કોડીઓની માળા બાંધેલી છે. ચાલો,આપણે એ ગાય ને રબારી પાસે જઈએ.
[બન્ને તે તરફ જાય છે]
દુર્ગેશ : રામ રામ ! ભાઈ રાયકા !
જગદીપ : રામ રામ.
દુર્ગેશ : અમે આ ગાયને જરાક પરસાદ ખવડાવીએ ? અમે ક્યારના લાલ ગાય ખોળીએ છીએ.
રબારી : ખવરાવોને. રાંધ્યું ખાધાનો તો ઇ ને ધખારો સે. (ડાંગ પર મોઢું ટેકવીને ઊભો રહે છે.)
દુર્ગેશ : (ભાથામાંથી થાળી છોડી ગાયના મોં આગળ ધરીને ગાયને ખવડાવતાં) આ કોની ગાય છે?
જગદીપ : પરભુ જાણે ચેની સે.
દુર્ગેશ : તમને ચરામણ કોઈ આલતું હશે ને?
રબારી : ઈ તો દરબારમાંથી મળે સે. આ ગા ખાઈ રહી. (ગાયને) હેંડ હવે ટેંબા ભણી
[ડચકરા બોલાવતો ગાયને હાંકી જાય છે.]
જગદીપ : સ્વર્ગેય ના જડ્યું ને સ્વર્ગનો માર્ગેય ના જડ્યો. પૃથ્વી પર હતા તેમ જ છીએ.
દુર્ગેશ : જુઓ ! આ વિમાન જેવું તો કાંઈ દેખાય છે.
[પોતાના હાથમાંનો કગાળનો ડૂચો બતાવે છે.]
જગદીપ : એ ક્યાંથી જડ્યો ?
દુર્ગેશ : ગાયની પાસે ઊભા રહી એને ખવડાવતાં બારીક નજરે જોતાં એને ગળે બાંધેલી કોડીઓમંથી વચલી મોટી કોડીમાં કાંઈ જણાયું. તે મેં હળવે રહી ખેંચી લીધું. હું રબારીને મારું ઓઠું કરીને જ ઊભો હતો, એટલે એને દેખાયું નહિ. હવે જુઓ, એ કાગળમાં કાંઈ સત્ત્વ છે?
જગદીપ : (કગળ ઉઘાડે છે.) કાંઈ કવિતા લખેલી છે. (વાંચે છે.)
(ઉપજાતિ)
એકાન્તવાસી ઋજુ બાલિકાને,
લઈ ઉપાડી જલસ્રોતમાંથી,
શા આ બિજા સ્રોત અગમ્યમાંહે,
મૂકી તણાતી અસહાય છેક? ૭૨દુર્ગેશ : મેં કલ્પી હતી તે જ સ્થિતિ છે. મારી પાસે આ લેખન-સામગ્રી છે તે વડે એનો ઉત્તર લખો.
જગદીપ : એનો ઉત્તર એ જ કાગળની બીજી બાજુએ લખું છું કે,
(વસંતતિલકા)
એ સ્રોત છે હ્રદયના રસપુણ્ય કેરો,
એમાં કદાપિ નથિ જોડ વિના તરાતું;
ઉત્કંઠ જેહ તલસે બનવા સહાય,
રોકી રહ્યું વિરસ વેષ્ટન ક્રૂર તેને. ૭૩[કાગળ પર લખે છે.]
દુર્ગેશ : એ કાગળ હવે સાંજ સુધીમાં પાછો એ ગાયને ગળે એ જ કોડીમાં નાખી દેજો. હવે તો, ગાય પર હાથ ફેરવવાને બહાને પણ ગાય પાસે જઈ શકશો. કાલે પ્રત્યુત્તર મળ્યા વિના નહિ રહે.
જગદીપ : તમારા આ મિત્રકાર્ય વિના મારો પ્રેમ અપંગ રહેત. હું વસતીથી દૂર ઉછર્યો છું, અને પ્રેમીઓની યુક્તિઓથી અજાણ્યો છું.
દુર્ગેશ :
(ઉપજાતિ)
જેવો હિરો હોય જડ્યા વિનાનો,
ગૂંથ્યા વિનાનું ફુલ હોય જેવું;
તેવો દિસે આ તમ પ્રેમ સાદો,
ન યુક્તિઓમાં ભળિ કાન્તિ જેની. ૭૪જગદીપ : મને ન સૂઝી તે યુક્તિ એકાન્તમાં વસનારી એ ઋજુ બાલિકાને આવડી છે!
દુર્ગેશ : પ્રેમ અદ્ભુત થયા પછી સ્ત્રીને પ્રેમયુક્તિઓ શીખવા જવું નથી પડતું.
જગદીપ : અરે ! કનકપુરની ખબરો તમને પૂછવાનું તો હું ભૂલી જ ગયો છું.
દુર્ગેશ : મને તમારા કરતાં કનકપુરની કંઈ વધારે ખબર નથી; કેમકે, તમે રાજસભામાંથી નીકળ્યા પછી તરત જ હું તમારી શોધમાં નીકળ્યો છું. પરંતુ, તમે બારોબાર નીકળી આવ્યા ને હું મારા પ્રયાણની ખબર કમલાને કહેવા ગયો, એથી આપણા વચ્ચે અન્તર પડી ગયું.
જગદીપ : કુંવારા અને પરણેલા વચ્ચે એટલું અન્તર તો હોય જ ! પણ તમે મને શી રીતે ખોળી કાઢ્યો ?
દુર્ગેશ : તમે રાજસભામાં વૃતાન્ત કહેતાં કિસલવાડીનું ઠેકાણું કહેલું, તેથી પહેલાં ત્યાં હું તમારી ખબર કાઢવા ગયેલો. ત્યાંથી કાંઈ પત્તો મળ્યો નહિ, તેથી નગરની ચારે દિશામાં ફરીને શોધ કરવા માંડી. અને અન્તે, નદી પ્રત્યેની તમે ઘણી વાર દર્શાવેલી આસક્તિ પરથી તમે કોઈ ઠેકાણે નદીતટે હશો એમ કલ્પના કરી નદીને માર્ગે ભ્રમણ કરતો હું અહીં આવી પહોંચ્યો. તમે એ શિવાલયની પડાળીમાં વાસ કરવાને બદલે નગરમાં આવો તો કેમ ? ત્યાંથી વખતોવખત અહીં આવી શકાશે.
જગદીપ : પંદર દિવસ તો હું નગરથી દૂર જ રહેવા ઇચ્છું છું. તે વિના મારી પ્રતિજ્ઞા પ્રમાણે તટસ્થતા પળાય નહિ.
દુર્ગેશ : હું નગરમાં જઈ કમલાને તમારા સમાચાર કહીને તથા નગરની ખબરો મેળવી અહીં પાછો આવીશ અને તમારા એકાન્તવાસની સગવડનાં કાંઈ સાધન લેતો આવીશ, અને આવીને તમારો અભિલાષ વિશેષ સિદ્ધિ પામેલો જોઈશ.
જગદીપ : એ સિદ્ધિનો આધાર પેલી ગાયને ગળે છે. એ ચરતી હશે ત્યાં જ હું જાઉં છું. કમલાદેવીને કહેજો કે એમને સહિયર આણી આપવા સારુ મેં ગાયની પૂજાનું વ્રત આરંભેલું છે.
[બંને જાય છે.]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
વસંતની વનદેવી
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮[ઢાળ-કાન તારે તળાવ રૂમઝુમતી રમવા નીસરી;
રમવા નીસરી, ચુંદડી વીસરી રે]આજ ફાગણને ફાગ, રૂમઝુમતી રમવા નીસરી;
રમવા નીસરી, દુઃખડાં વિસરી રે –આજ૦આજ ફુલડાંને ફાલ, ફુલવંતી રમવા નીસરી;
રમવા નીસરી, મન મીઠાં કરી રે–આજ૦આજ ખેતર મોઝાર, અનદેવી રમવા નીસરી;
રમવા નીસરી, કણ ખોબા ભરી રે–આજ૦આજ ગલને ગુલાલ છાટન્તી રમવા નીસરી;
રમવા નીસરી, મુખ રાતાં કરી રે–આજ૦આજ કેસુડાં ડાળ, રંગરેલી રમવા નીસરી;
રમવા નીસરી, પટકુળ કેસરી રે–આજ૦આજ આંબાને મ્હોર, મધુવંતી રમવા નીસરી;
રમવા નીસરી, કરમાં મંજરી રે–આજ૦આજ દખણાદે દ્વાર, મદઘેલી રમવા નીસરી;
રમવા નીસરી, પવનની પાંખડી રે–આજ૦આજ દરિયાને તીર, અલબેલી રમવા નીસરી;
રમવા નીસરી, જળની મોજડી રે–આજ૦આજ કિલકિલ ટૌકાર, કોયલડી રમવા નીસરી;
રમવા નીસરી, મદભર આંખડી રે–આજ૦આજ પૂનમને આભ, અનહદમાં રમવા નીસરી;
રમવા નીસરી, ઉર ચાંદો ધરી રે–આજ૦આજ સૂરજનો તાપ, સળગન્તી રમવા નીસરી;
રમવા નીસરી, ઝગમગ ઓઢણી રે–આજ૦આજ કરતી અંઘોળ, નદીઓમાં રમવા નીસરી;
રમવા નીસરી, ભીંજવે ચૂંદડી રે–આજ૦આજ આવળને ફુલ પથ ભૂલી રમવા નીસરી;
રમવા નીસરી, પીળુડી પાંભરી રે–આજ૦આજ કાંટાની વાડ્ય, વીંધાતી રમવા નીસરી;
રમવા નીસરી, નવલી વેલડી રે–આજ૦આજ પંખીને માળ, હીંચન્તી રમવા નીસરી;
રમવા નીસરી, સુણતી બંસરી રે–આજ૦આજ કૂંપળને પાન, પગ દેતી રમવા નીસરી;
રમવા નીસરી, કુમકુમ પાથરી રે–આજ૦આજ મેંદીને છોડ, મલકંતી રમવા નીસરી;
રમવા નીસરી, નખલા રંગતી રે–આજ૦આજ સોળે શણગાર, શોભંતી રમવા નીસરી;
રમવા નીસરી, સુખભર સુંદરી રે–આજ૦આજ વનદેવી નાર, નવખંડે રમવા નીસરી;
રમવા નીસરી, વિભુની ઇશ્વરી રે–આજ૦
‘વેણીનાં ફૂલ’ કાવ્ય સંગ્રહમાંથી
● ●
સ્રોત : વિકિસ્રોત
-
ફિલ્મી ગઝલો – ૫૨. ગોપાલસિંહ નેપાલી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ફિલ્મ સંગીત અને જુના ફિલ્મી ભજનોનો શોખીન ભાગ્યે જ કોઈ એવો હશે જેણે ફિલ્મ ‘ નરસી ભગત’ ૧૯૫૭ નું મન્નાડે, હેમંતકુમાર અને સુધા મલ્હોત્રાએ ગાયેલું ‘ દર્શન દો ઘનશ્યામ નાથ ‘ અને ‘ શિવ ભક્ત’ ૧૯૫૫ નું મોહમ્મદ રફી એ ગાયેલું ‘મુજે તો શિવ શંકર મિલ ગયે ‘ ન સાંભળ્યું હોય.
આ બંને ભજનોના કવિ હતા ગોપાલસિંહ નેપાલી. ફિલ્મ પ્રવેશ પહેલા જ તેઓ હિન્દી અને નેપાળી કવિતામાં ખાસી શોહરત હાંસલ કરી ચૂક્યા હતા. એમની આ પંક્તિઓ જુઓ :ઘર તો રખવાલોં ને લૂટા
મેરી દુલ્હન સી રાતોં કો,
નૌ લાખ સિતારોં ને લૂટા..
નેપાલી સાહેબે 60 થી વધુ ફિલ્મોમાં 400 થી યે વધુ ગીતો લખ્યા. આમાંની મોટા ભાગની ફિલ્મો ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક હતી જેમાં ગઝલોના સમાવેશ માટે અવકાશ ઓછો હતો . એમણે ગીતો લખ્યા એવી કેટલીક ફિલ્મોના નામ તુલસીદાસ, નાગ પંચમી, અનોખા પ્યાર, ગજરે, વામન અવતાર, માયા બાઝાર, પવનપુત્ર હનુમાન, રાજ દરબાર, તિલોતમા, સુદર્શન ચક્ર વગેરે.
એમની ગઝલો શોધવી મુશ્કેલ હતી પણ ‘ જિન ખોજા તિન પાઈયાં ‘ અનુસાર બે ગઝલ મળી જ ગઈ. પ્રસ્તુત છે :
રહ – રહ કે તેરા ધ્યાન રૂલાતા હૈ – ક્યા કરું
હર સિમ્ત મુજકો તુ નઝર આતા હૈ – ક્યા કરુંતેરી સમજ મેં ભી નહીં આતા હે મેરા હાલ
મેરી ઝૂબાં પે ભી નહીં આતા હૈ – ક્યા કરુંયે મુજકો ક્યા હુઆ હૈ મુજે ખુદ ખબર નહીં
હર વક્ત કોઈ યાદ હી આતા હૈ – ક્યા કરુંહૈરાં હું જબ ભી આંખ સે આંસુ ટપકતા હૈ
દિલ કી લગી કો ઔર બઢાતા હૈ – ક્યા કરું ..– ફિલ્મ: ગજરે ૧૯૪૮
– સુરૈયા
– અનિલ વિશ્વાસ
વો પૂછતે રહે હમ હાલે દિલ સુના ના સકે
જો બાત દિલ મેં થી અફસોસ લબ પે લા ન સકેમેરા શુમાર હૈ ઉન ઝખ્મિયોં મેં ઉલ્ફત કે
જો તીર ખાએ મગર ઝખ્મે દિલ દિખા ના સકેઅજબ ચિરાગ થા અરમાં કા આરઝૂ કા ચિરાગ
બુઝા તો ઐસે બૂઝા ફિર ઉસે જલા ન સકે..– ફિલ્મ: આપબીતી ૧૯૪૮
– રાજકુમારી દુબે
– હરિ ભાઈ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
વાદ્યવિશેષ : (૧૨) – તંતુવાદ્યો (૮) : સંતૂર ભાગ (૨)
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
ગઈ કડીમાં આપણે જાણ્યું કે સંતૂરને વૈશ્વિક ફલક ઉપર લઈ જવામાં પંડીત શિવકુમાર શર્માનો અને તેમના શાસ્ત્રીય વાદનનો બહુ મોટો ફાળો રહ્યો છે. આ ઉપરાંત એક સંગીતકાર તરીકે અને એક વાદક તરીકે તેમણે ફિલ્મી સંગીતમાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. સુખ્યાત વાંસળીવાદક પંડીત હરીપ્રસાદ ચૌરસીયા સાથે ‘શિવ-હરી’ નામે જોડી બનાવી, ફિલ્મોમાં સંગીતનિર્દેશન પણ કર્યું છે. આ જોડીના સંગીત વડે સજાયેલી ફિલ્મ ‘સિલસીલા’નાં ગીતો ખુબ જ લોકપ્રિય થયાં હતાં, એટલું જ લોકપ્રિય શિવકુમારે સંતૂર પર વગાડેલું તે ફિલ્મનું થીમસંગીત પણ થયું હતું. આજની કડીની શરૂઆતમાં તે માણીએ.
સંતૂરના સૂરનો પરિચય મેળવી લીધા પછી હવે કેટલાંક સંતૂરપ્રધાન ફિલ્મી ગીતો સાંભળીએ.
ફિલ્મ કાશ્મીર કી કલી(૧૯૬૪) નું સંગીત ઓ.પી.નૈયરે તૈયાર કર્યું હતું. તેના ગીત ‘ઈશારોં ઈશારોં મેં દિલ લેનેવાલે’માં સિતારની સાથેસાથે સંતૂરના પણ કર્ણપ્રિય અંશો છે,
https://www.youtube.com/watch?v=zNsNuCitZys
ફિલ્મ ખાનદાન(૧૯૬૫)નું સંતૂરના અંશોથી સભર ગીત ‘તુમ હી મેરે મંદીર’ સાંભળીએ. સ્વરનિયોજન રવિનું છે.
૧૯૬૫ના જ વર્ષમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ મેરે સનમમાં ઓ.પી.નૈયરનું સંગીત હતું. આ ફિલ્મનાં ગીતોના વાદ્યવૃંદમાં નૈયરે સંતૂરનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો. તે પૈકીનું એક ખુબ જ લોકપ્રિય ગીત ‘જાઈએ આપ કહાં જાઓગે’ સાંભળીએ.
ફિલ્મ સાવન કી ઘટા(૧૯૬૬)ના પ્રસ્તુત ગીત ‘આજ કોઈ પ્યાર સે દિલ કી બાતેં કહ ગયા’ના વાદ્યવૃંદમાં સિતારની સાથે સંતૂરના ટૂકડાઓ પણ કાને પડતા રહે છે. સંગીતનિર્દેશન ઓ.પી.નૈયરનું હતું.
https://www.youtube.com/watch?v=TLGeH9mWOD0
૧૯૬૬ના વર્ષમાં જ પરદા ઉપર આવેલી ફિલ્મ આયે દિન બહાર કેમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત હતું. આજે પણ તેનું એક ગીત ‘સુનો સજના પપીહે ને’ખુબ જ લોકપ્રિય બની રહ્યું છે. આ ગીત સાંભળતાં જ તેના વાદ્યવૃંદમાં વાગી રહેલા સંતૂરના અંશો પ્રભાવિત કરી જાય છે.
કલ્યાણજી- આણંદજીના સ્વરનિર્દેશનમાં તૈયાર થયેલા ફિલ્મ મેરે હમસફર(૧૯૬૬)ના ગીત ‘કિસી રાહ પે કિસી મોડ પર’ના વાદ્યવૃંદમાં સંતૂરનું પ્રાધાન્ય પરખાઈ આવે છે.
૧૯૬૬ના વર્ષની જ એક વધુ ફિલ્મ પતિ-પત્નીનું ગીત ‘કજરે બદરવા’ માણીએ. સંગીતનિર્દેશક રાહુલદેવ બર્મને આ ગીતના વાદ્યવૃંદમાં સંતૂરનો ભરપૂર ઉપયોગ કર્યો છે.
ફિલ્મ બહારેં ફીર ભી આયેગી(૧૯૬૬)નું સંગીત ઓ.પી,નૈયરે તૈયાર કર્યું હતું. તેના ગીત ‘કોઈ કહે દે જમાને સે જા કે’માં સંતૂરના કર્ણપ્રિય અંશો સંભળાતા રહે છે.
https://www.youtube.com/watch?v=UEnUmsb3qt0
૧૯૭૨ની ફિલ્મ મેરે જીવનસાથીની સફળતામાં રાહુલદેવ બર્મનના નિર્દેશનમાં બનેલાં ગીતોનું મોટું પ્રદાન હતું. આ ફિલ્મના ગીત ‘ઓ મેરે દિલ કે ચૈન’માં પહેલા અને બીજા અંતરા વચ્ચેના ઈન્ટરલ્યુડમાં સંતૂરના યાદગાર અંશો સાંભળવા મળે છે. અહીં સંતૂરનો સાવ અલગ પ્રકારે ઉપયોગ થયેલો છે.
https://www.youtube.com/watch?v=FFbc-jXkADs
૧૯૭૩ના વર્ષમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ પ્રેમ પર્બતના ગીત ‘યે દિલ ઔર ઉન કી નિગાહોં કે સાયે’ના વાદ્યવૃંદમાં સંતૂર અને વાંસળીના સ્વરો એકબીજાને પૂરક હોય તેમ સજાવાયા છે. સંગીતનિર્દેશન જયદેવનું છે.
ઐતિહાસિક પશ્ચાદભૂ ધરાવતી ફિલ્મ રઝીયા સુલતાન(૧૯૮૩)નાં ગીતો તૈયાર કરતી વખતે સંગીતકાર ખય્યામે જે તે કાળખંડને ધ્યાનમાં રાખ્યો હતો. આ ફિલ્મના ગીત ‘એ દિલ એ નાદાં’ના વાદ્યવૃંદમાં સંતૂરનો વ્યાપક ઉપયોગ જણાઈ આવે છે.
આજની કડીમાં આટલું જ. હવે પછીના હપ્તામાં નવા વાદ્ય સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
મુજરા ગીતો : इन आँखों से वाबस्ता अफ़साने हज़ारों हैं
નિરંજન મહેતા
આ શ્રેણીનો આ ત્રીજો અને અંતિમ ભાગ છે જેમાં ૧૯૭૮ પછીના સાંપડેલા મુજરા ગીતોનો સમાવેશ કર્યો છે.
૧૯૭૮ની ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’નુ મુજરા ગીત અત્યંત પ્રચલિત મુજરા ગીત છે.
इश्क़ वालों से न पूंछो कि उनकी रात का आलम तनहा कैसे गुज़रता है
जुदा हो हमसफ़र जिसका वो उसको याद करता है
……….
तुम हमसे प्यार करने की ज़रा सी भूल कर लो
मेरा दिल बेचैन मेरा दिल बेचैन है हमसफ़र के लियेરેખા અને અમિતાભ બચ્ચન પર રચાયેલ આ મુજરા ગીતના રચયિતા છે અનજાન જેને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. ગાનાર કલાકારો છે કિશોરકુમાર અને લતાજી.
૧૯૭૯ની ફિલ્મ ‘સુહાગ’નુ આ મુજરા ગીત પણ રેખા અને અમિતાભ બચ્ચન પર રચાયું છે.
आज इम्तेहान है, इम्तेहान है
आज इम्तेहान है
आज की रात तू मेरा मेहमान है
आज इम्तेहान हैગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનુ. ફરી એકવાર કિશોરકુમાર અને લતાજી ગાયકો.
૧૯૮૧ની ફિલ્મ ‘ઉમરાવ જાન’ તવાયફની વાત કરતી હોય તો તેમાં એક કરતાં વધુ મુજરા ગીતો હોવાના. પ્રથમ મુજરા ગીત છે
इन आँखों की मस्ती के मस्ताने हज़ारों हैं
इन आँखों से वाबस्ता अफ़साने हज़ारों हैं
બીજું મુજરા ગીત છે
दिल चीज़ क्या है आप मिरी जान लीजिए
बस एक बार मेरा कहा मान लीजिएત્રીજું મુજરા ગીત છે
ये क्या जगह है दोस्तो ये कौन सा दयार है
हद-ए-निगाह तक जहाँ ग़ुबार ही ग़ुबार हैત્રણેય મુજરાના કલાકાર છે રેખા. ગીતના શબ્દો છે શહરિયારના અને સંગીત આપ્યું છે ખય્યામે. ગાયિકા આશા ભોસલે
૧૯૮૨ની ફિલ્મ ‘ધરમ કાંટા’નુ મુજરા ગીત જોઈએ.
जालीम तेरा जहा की हर रसम छोड़ दी है
………….
के घुँघरू टूट गयेમુજરા કલાકાર છે સુલક્ષણા પંડિત જે અમજદ ખાન આગળ મુજરો કરે છે. મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે નૌશાદે. ગાયિકા આશા ભોસલે. के घुँघरू टूट गये પર ઘણા ગીતો જોઈ શકાશે.
૧૯૮૫ની ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’નુ આ મુજરા ગીત રાજીવ કપૂરની એક વખતની પ્રેમિકા તેના લગ્ન સમારંભમાં ગાય છે.
एक राधा, एक मीरा दोनों ने श्याम को चाहा
अंतर क्या दोनों की चाह में बोलो
अंतर क्या दोनों की चाह में बोलो
एक प्रेम दीवानी, एक दरस दीवानीમંદાકિની આ ગીતના કલાકાર છે. ગીત અને સંગીત રવીન્દ્ર જૈનના અને ગાયિકા લતાજી
https://youtu.be/RC9LZWbhXGE?si=Ni_-HTBl5L8oVkVH
૧૯૮૭ની ફિલ્મ ‘માબેટી’નુ આ મુજરા ગીત મીનાક્ષી શેષાદ્રીની વ્યથાને વર્ણવે છે
मुझको सड़को से कोठे पे पहुँचा दिया
शुक्रिया आपके प्यार का शुक्रिया
ગીતના શબ્દો છે અનજાનના અને સંગીત આપ્યું છે આનંદ મિલિંદે. સ્વર છે અનુરાધા પૌડવાલનો.
૧૯૮૯ની ફિલ્મ ‘મેરી લલકાર’નુ મુજરા ગીત છે
बादल के भेष आँखों को तुम बहका नहीं सकते
जो धोका देनेवाले है वो धोका खा नहीं सकतेકલાકાર હ્યુમા ખાન(?). શબ્દો સનમ ગાઝીપુરીના અને સંગીત વિજય બતાલવીનુ. ગાનાર કલાકારો છે દિલરાજ કૌર અને સુદેશ ભોસલે
૧૯૮૯ની ફિલ્મ ‘રામ લખન’નુ આ ગીત હજી પણ પ્રચલિત છે.
ओ राम जी बड़ा दुःख दीना
तेरे लखन ने बड़ा दुःख दीनासुद-बूद बिसराई, मेरी नींद चुराईमेरा मुश्किल कर दिया जीनाમાધુરી દિક્ષિત આ મુજરાના કલાકાર છે જેના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે લતાજી ગીતના ગાયિકા.
૧૯૮૯ની ફિલ્મના નામમાં જ તવાયફ શબ્દ છે એટલે મુજરા નૃત્ય હોવાનું. ફિલ્મ છે ‘પતિ પત્ની ઔર તવાયફ’
कहाँ मैं कहाँ हैं पता तेरा
इज़ाज़त अगर हो तो करलु सलाम
मुझे लोग कहते हैं कदमों की धूलસલમા આગા આ મુજરા ગીતના કલાકાર છે. આનદ બક્ષીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનુ સંગીત. ગાયિકા છે સલમા આગા
૧૯૯૪ની ફિલ્મ ‘જય વિક્રાંતા’નુ મુજરા ગીત છે
शमा रोशन हुयी महफ़िल में नया नूर आया
आपके जैसा कोई पहले न हज़ूर आयाप्यार इक़रार मेरे यार हो गया
ઝેબા બખ્તિયાર સંજય દત્ત સામે આ મુજરો કરે છે. શબ્દો છે સમીરનાં અને સંગીત આપ્યું છે આનંદ મિલિંદે. કુમાર સાનુ અને અલકા યાજ્ઞિક ગીતના ગાયકો.
૨૦૦૨ની ફિલ્મ ‘દેવદાસ’નુ આ મુજરા ગીત આટલા સમય બાદ પણ તરોતાજા છે.
यह किसकी है आहाट
यह किसका है साया
हुई दिल मे दस्तकयहा कौन आया
हम पे यह किसने हरा रंग डाला
ख़ुशी ने हमारी हमे मार डाला ओह मार डाला
मार डाला हा मार डालाશાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય આ ગીતના કલાકારો. શબ્દો છે નસરત બદરના અને સંગીત આપ્યું છે ઈસ્માઈલ દરબારે. સ્વર છે કવિતા ક્રિશ્નામૂર્તિ અને કે.કે.ના
૨૦૦૫ની ફિલ્મ ‘મંગલ પાંડેનુ મુજરા ગીત છે
हर एक बात हैं जैसे
मीठी करारी
तुम्हारी अदाओं पे मैं वारी वारीરાની મુકરજી પર રચાયેલ આ મુજરા ગીતના શબ્દો છે જાવેદ અખ્તરના. સંગીત આપ્યું છે એ.આર. રેહમાને અને ગાયિકાઓ છે કવિતા ક્રિશ્નામૂર્તિ અને રીના ભારદ્વાજ.
૨૦૦૫ની ફિલ્મ ‘ક્રિશ્ના’નુ ગીત જોઈએ.
खूब पर्दा है के चिलमन से लगे बैठे है
साफ़ छुपाते भी नहीं सामने आते भी नहींસુસ્મિતા સેન અને વિવેક ઓબેરોય આ ગીતના કલાકારો છે. શબ્દો છે જાવેદ અખ્તરના અને સંગીત છે ઈસ્માઈલ દરબારનુ. ગાયકો એક કરતાં વધુ
૨૦૧૨ની ફિલ્મ ‘એજન્ટ વિનોદ’ માં પણ એક મુજરા ગીત છે.
फेंके नज़र के सिक्के उसने लगे के नइ हु मै
उसने जो छू लिया तो हाये लगे के नइ हु मैગીત રચાયું છે કરીના કપૂર અને સૈફ અલીખાન પર. ગીતના શબ્દો છે નીલેશ મિશ્રના અને સંગીત છે પ્રિતમનુ. આ ગીતમાં પણ ગાયકો એક કરતાં વધુ છે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
બાળ ગગન વિહાર – મણકો – ૩૬ : વાત અમારા રાફાએલની
શૈલા મુન્શા
પુરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં!
-દલપતરામ
કવિ દલપતરામની આ પંક્તિ મને ખાસ એટલે યાદ આવી કે અમારો રાફાએલ પણ કોઈ રાજાથી ઓછો નહોતો. ફળ હોય કે નાસ્તો કે પછી આઈસક્રીમ બધું એને માટે એક સરખું.
રાફાએલ એક મેક્સિકન બાળક. જોકે બધા સ્પેનિશ બોલતાં માણસો આપણને મેક્સિકન લાગે, પણ કેટલાય જુદા જુદા દેશની એ પ્રજા. કોઈ પેરુ, તો કોઈ કોલમ્બિયા. કોઈ વળી ગ્વાટેમાલા તો કોઈ પોર્ટરિકો તો કોઈ ક્યુબાના. ભલે બધા સ્પેનિશ બોલતા હોય પણ લઢણ જુદી, ચામડીનો રંગ જુદો અને ચડતા ઉતરતા નો જાત તફાવત પણ ખરો.
રાફાએલ જ્યારે છ વર્ષનો થયો ત્યારનો એક પ્રસંગ યાદ કરતાં આજે પણ મારા ચહેરા પર મુસ્કાન આવી જાય છે. તે દિવસે એની વર્ષગાંઠ હતી. જ્યારે પહેલીવાર રાફાએલને જોયો અને ત્યારે એ ત્રણ વર્ષનો હતો.
ત્રણ વર્ષનો રાફાએલ રૂપાળો એટલો લાગતો કે કોઈ માને નહિ કે આ બાળક સ્પેનિશ હશે! એની બહેન પણ અમારી જ સ્કુલમાં ભણતી, ખૂબ હોશિયાર અને ડાહી.
જ્યારે રાફાએલ સ્કુલમાં આવ્યો ત્યારે કાંઈ બોલે નહિ, નાક ગળતું અને છી છી પી પીનું ભાન નહિ. પપ્પા એમના ખભે બેસાડી સ્કૂલમાં લઈ આવે. થોડા દિવસ તો એમ ચાલ્યું પછી પપ્પાને સમજાવ્યા કે રાફાએલ હવે સ્કૂલમાં આવે છે, એને સ્કુલના નિયમો પાળતા શીખવાડવું પડે. કદાચ રડે પણ ટેવાઈ જશે.
દીકરાની ભલાઈ પપ્પાને જલ્દી સમજાઈ ગઈ, અને સ્કૂલના દરવાજે હું કે મીસ લોરા જે ફરજ પર હોય તેમના હાથમાં રાફાએલને સોંપી એ નીકળી જતા. દિવ્યાંગ બાળકોમાં પણ આવડત તો હોય જ છે અને ધીરજપુર્વક કામ લેવામા આવે તો એમની પ્રગતિ પણ ચોક્કસ દેખાય જ છે.
ત્રણ વર્ષમાં રાફાએલની પ્રગતિ જોઈને બધા નવાઈ પામી ગયા હતા. લોરા કરીને એક ટીચર સાથે ત્યારે હું કામ કરતી હતી. બે વર્ષ પછી લોરા બીજી સ્કુલમાં ગઈ, પણ જો એ રાફાએલને ત્રણ વર્ષ પછી મળતે તો માની જ ના શકત કે જે રાફાએલ ક્લાસમાંથી ભાગી જતો અને કાંઈ ન બોલતો તે આટલો હોશિયાર થઈ ગયો. રાફાએલને સંગીત બહુ ગમતું. બધા ગીત એને આવડતા અને ડાન્સનો તો એટલો શોખ કે સામે સ્માર્ટ બોર્ડ પર ચાલતા ગીત પ્રમાણે હાથ પગ ઉછાળી નાચવા મંડી જતો.
બપોરના ઊંઘમાંથી ઉઠ્યા પછી બાળકોને નાસ્તો આપવામાં આવતો અને મીસ મેરી એને કહે કે જા જઈને રેફ્રિજરેટરમાંથી જ્યુસ લઈ આવ તો બરાબર જેટલા બાળકો હોય એ પ્રમાણે ગણીને લઈ આવતો. કોમ્પ્યુટર પર એ, બી, સીની રમત અને સંગીત સાંભળવું એને ખૂબ ગમતું. આખી સ્કૂલ એને ઓળખતી. કાફેટેરિઆમાં જમવા જઈએ, મેદાન પર રમવા જઈએ, જ્યાં જઈએ ત્યાં જે સામે મળે એને એવા લહેકાથી હાય કહેતો કે સામી વ્યક્તિ એને વહાલ કર્યા સિવાય રહી જ ના શકે.
રાફાએલ જ્યારે છ વર્ષનો થયો એટલે એને સમજ પડતી કે એની વર્ષગાંઠ ક્યારે આવે છે. મને બરાબર યાદ છે કે આગલા દિવસથી જ રાફાએલ જે સામે મળે એને કહેતો “tomorrow my birthday” એટલે બીજે દિવસે સવારથી જે સામે મળે એ બધા એને વર્ષગાંઠની શુભેચ્છા આપવા માંડ્યા. રાફાએલની ખુશીનો તો પાર નહોતો. એની વર્ષગાંઠની ઉજવણી અમે બધાએ નાસ્તાના સમયે કપકેક અને આઈસક્રીમ ખાઈને કરી. ક્લાસના બાળકોએ અમારી સાથે મળી રાફાએલ માટે સરસ મજાનું વર્ષગાંઠનું કાર્ડ બનાવ્યું
અમેરિકામાં બાળકોને સ્કૂલ તરફથી તરફથી નાસ્તો અને જમવાનું મળતું હોય, નાસ્તો તો બધાને મફત હોય પણ જમવાના પૈસા આવક પ્રમાણે આપવાના હોય. મોટાભાગનાં બાળકો સફરજન કે સંતરા વગેરે ફળ ખાય નહિ એટલે અમે એ ફળ એમની બેગમાં ઘરે મોકલી આપતા. રાફાએલને પણ એવી ટેવ કે રોજ એના ભાગનું સંતરૂં કે સફરજન જઈને પોતાના દફતરમાં મુકી આવતો.
મજાની વાત હવે આવે છે.
રાફાએલે કેક તો ખાધી પણ એને આઈસક્રીમ ખાવો નહોતો એટલે જઈને આદત મુજબ પોતાની બેગમાં મુકી દીધો હતો. (ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં)
ઘરે જવાનો સમય થયો એટલે મીસ મેરી રાફએલનું કાર્ડ એની બેગમાં મુકવા ગઈ પણ એને હાથમાં કાંઈ ચીકણુ લાગ્યું. બેગ ખોલીને જોયું તો આઈસક્રીમ પીગળવા માંડ્યો હતો!
આખા દિવસની મજા પછી જતાં જતાં રાફાએલભાઈનો દિવસ બગડી ગયો, મીસ મેરીએ ચીસ પાડી રાફાએલલલલલ……..
આજે પણ જ્યારે આ પ્રસંગ અને રાફાએલનો ચહેરો યાદ આવે છે ત્યારે મારા ચહેરા પર હાસ્ય છલકી ઉઠે છે, કારણ એ નિર્દોષ બાળકને તો ખબર પણ નહોતી કે સફરજન અને આઈસક્રીમમાં ફરક હોય છે અને આઈસક્રીમ એમ જ બેગમાં મુકી ના દેવાય.
નવાઈભર્યો રાફાએલનો ચહેરો મારા માનસપટ પર જડાઈ ગયો છે. આવા નિર્દોષ મસ્તીભર્યાં એ દિવસો મારા જીવનની અમૂલ્ય મુડી છે. ઈશ્વર રાફાએલ અને એના જેવા સર્વે બાળકોની એ નિર્દોષતા કાયમ જીવંત રાખે.
અસ્તુ,
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
ભૂતમ શરણમ ગચ્છામિ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ફિલ્મોના વિવિધ પ્રકાર પૈકીનો એક છે ‘હોરર’ ફિલ્મોનો, જેનો એક આગવો ચાહક વર્ગ છે. ‘હોરર’નો સાદો અર્થ થાય ભય, આંતક, દહેશત વગેરે..ફિલ્મોના આ પ્રકારમાં સામાન્ય રીતે અલૌકિક તત્ત્વ અને તેના થકી ઊભી થતી દહેશત કેન્દ્રસ્થાને હોય છે. સાદી ભાષામાં તેને ‘ભૂતિયા’ કહી શકાય. વાર્તાસાહિત્યમાં પણ આ પ્રકાર ચલણી છે, જે ખરેખર તો ફિલ્મોથી વહેલો અસ્તિત્વમાં આવ્યો. ‘ડ્રેક્યુલા’, ‘ફ્રેન્કેન્સ્ટાઈન’ જેવાં પાત્રો ‘હોરરકથા’નાં અતિ જાણીતાં કહી શકાય. ફિલ્મોમાં ‘ધ એક્ઝોરસિસ્ટ’, ‘ધ એન્ટિટી’, ‘પોલ્ટરગેસ્ટ’, ‘ઈવિલ ડેડ’, ‘ધ કોન્જ્યુરિંગ’ જેવી અંગ્રેજી સહિત અનેક અન્યભાષી ફિલ્મો આ શ્રેણીમાં સ્થાન પામે છે. આવી કથાઓ વાંચનારો અને ફિલ્મો જોનારો જુદો જ વર્ગ છે, જે તેને બરાબર માણે છે. ઘણા વાચકો કે દર્શકો કબૂલે છે કે આવી કથાઓ વાંચતાં કે ફિલ્મો જોતાં તેઓ રીતસર ડરી જાય છે, ફફડી ઉઠે છે, અને લાંબા સમય સુધી તેઓ તેની અસરમાં રહે છે. છતાં તેઓ આ પ્રકારનો આનંદ લેતા રહે છે. રહસ્યરંગી સાહિત્યને ઘણા સમય સુધી ‘સાહિત્ય’નો દરજ્જો નહોતો મળ્યો. તો ‘હોરર’નો પ્રકાર તેનાથી પણ નીચલા દરજ્જે બિરાજે છે એમ કહી શકાય.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી આવા માહોલમાં પુસ્તકવિક્રયની વિગતો એકઠી કરતી ઈન્ગ્લેન્ડસ્થિત કંપની ‘નિલ્સન બુકસ્કેન’ દ્વારા બહાર પડાયેલા વેચાણના આંકડા આશ્ચર્યજનક છે. એ મુજબ વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન હોરર કથાઓનાં પુસ્તકોના વેચાણમાં ૫૪ ટકા જેટલો અધધ કહી શકાય એટલો ઊછાળો નોંધાયો છે. કુલ ૭.૭ મિલીયન યુરો એટલે કે આશરે ૬૮ કરોડ રૂપિયાની કિંમતનાં આવાં પુસ્તકો આ અરસામાં વેચાયાં છે. વર્તમાન વર્ષ એટલે કે ૨૦૨૪ના પ્રથમ ત્રણ મહિનામાં પણ વેચાણ અગાઉના વર્ષ કરતાં ૩૪ ટકા ઊંચું રહ્યું છે. આ પરિણામ નવાઈ પમાડે એવું છે. એટલે સ્વાભાવિકપણે જ તેના કારણોમાં ઊંડા ઊતરવાની કવાયત ચાલી.
એક કારણ કે તારણ એ મળ્યું કે આ સમયગાળો વિશ્વભરમાં સામાજિક અને રાજકીય અસ્થિરતાનો બની રહ્યો. યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ, ઈઝરાયલના પેલેસ્ટાઈન પર હુમલા, મહામારીનો ઝળૂંબી રહેલો ઓથાર, આર્થિક અનિશ્ચિતતા, આત્યંતિક હવામાનની વિપરીત અસરો વગેરે આના માટે જવાબદાર હોવાનું મનાય છે. એ શી રીતે?
આવી કથાઓના લેખક અને પ્રકાશક માને છે કે આમ થવાનું એક કારણ એ છે કે આ કથાપ્રકાર રાજકીય પણ છે. થોડા સમય પહેલાં જ પ્રકાશિત થયેલી ‘ધ હન્ગરી ડાર્ક’ નવલકથાનાં બ્રિટીશ લેખિકા જેન વિલીયમ્સના જણાવ્યા અનુસાર, ‘વૈશ્વિક ઘટનાઓની સમાંતરે હોરર સાહિત્યના વેચાણમાં સતત વધઘટ થતી રહે છે. વાસ્તવિક જીવનની ભયાવહતા સામે તે આભાસી, વધુ ડરામણું, છતાં આનંદ આપતું પ્રતિબિંબ દેખાડે છે. યુદ્ધ, મહામારી, હવામાન પરિવર્તન જેવી ઘટનાઓના ચિંતાજનક કાળમાં આપણે જીવી રહ્યા છીએ ત્યારે એ જોવું રસપ્રદ બની રહે છે કે હોરર કથા ફરી પાછી ચલણમાં આવી રહી છે અને વધુ લોકો સુધી પહોંચી રહી છે.’
‘એટલાન્ટિક બુક્સ’નાં એક સંપાદિકા જોઆના લીના જણાવ્યા અનુસાર હોરર કથાનો પ્રકાર ‘અનિવાર્યપણે રાજકીય’ છે. ‘બરો પ્રેસ’નાં એડિટર-એટ-લાર્જ કહે છે કે નિષ્ણાતો માને છે કે કઠિન સમયમાં વાચકો આનંદદાયક વિષયો વાંચવાનું પસંદ કરે છે, પણ આ પ્રવાહ એથી વિરુદ્ધનો છે. વાચકો કદાચ એમ માનીને એ તરફ દોરાતા હશે કે, ‘આનાથી પણ બદતર પરિસ્થિતિ હોઈ શકે. હું બદલો લેનારી આત્માઓના હુમલાનો ભોગ બની શકું.’ .
ઘણાં નવાં હોરર પુસ્તકોમાં નારીવાદનું ચિત્રણ ગાઢ રીતે થયેલું જોવા મળે છે. એ ઉપરાંત (સંબંધોમાં) સંમતિ, માતૃત્વ, ઉલ્લંઘન દર્શાવતી હોરર કથાઓ અતિશય લોકપ્રિય છે. મહિલાઓનો ક્રોધાવેશ અને લાંબા સમયથી દાબી રાખેલાનો સ્ફોટ થાય ત્યારે સર્જાતી પરિસ્થિતિ જેવી બાબતો આ કથાપ્રકારમાં એકદમ બંધબેસે છે.
આગામી જૂનમાં પ્રકાશ્ય ‘ફ્રીકસ્લો’ નામની નવલકથાનાં લેખિકા જેન ફ્લેટના જણાવ્યા મુજબ હોરર પુસ્તકમાં ઉછાળો આવવાનું કારણ તાજેતરનાં વરસોમાં આપણે અનુભવેલી આઘાતજનક ઘટનાઓની પ્રતિક્રિયા છે. ચોમેર બોઝિલ વાતાવરણ હોય ત્યારે અંધારાને લપેટાઈ જવામાં એક આભાસી રાહત મળે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમના ખુદના માટે આવી ભયાવહ કથાઓ એક એવો અવકાશ પૂરો પાડે છે, જેમાં તેઓ તાકાત અને તાકાતવિહીનતા એમ બન્ને પરિબળો સાથે રમી શકે છે. આપણી પાસેથી આપણું ચેન હરી લેવા તત્પર હોય એવા જગતમાં આવી અનુભૂતિ અતિશય ભાવશામક બની રહે છે.
જરા વિચિત્ર લાગે પણ એ હકીકત છે કે ઘણી વાર જગતમાં બનતી ઘટનાઓ સમાચાર થકી જાણવા મળે એના કરતાં આવી પરોક્ષ રીતે જાણવા મળે ત્યારે તેની તીવ્રતા વધુ ગંભીરતાથી અને યોગ્ય પ્રમાણમાં ધ્યાને આવે છે. આવું જ અન્ય એક માધ્યમ છે રાજકીય કાર્ટૂન.
પોતપોતાના પ્રદેશમાં અને એ રીતે સમસ્ત વિશ્વમાં બની રહેલી અરાજકતાભરી ઘટનાઓમાં નાગરિકોના ભાગે તેને વેઠવા કે સાક્ષી બનવા સિવાય ભાગ્યે જ કશું કરવાનું આવે છે. શાસકો પોતાનો ધર્મ ચૂકે, પણ નાગરિકોએ નાગરિકધર્મનું પાલન કર્યે રાખવું એવી અપેક્ષા સેવવામાં આવે છે. પોતે જ પસંદ કરેલા શાસકને તગેડી મૂકવાનો વિકલ્પ સામાન્ય સંજોગોમાં એટલો હાથવગો નથી હોતો, કેમ કે, એ જોગવાઈ શાસકે પોતાના પક્ષે આગોતરી કરી લીધી હોય એ શક્યતા વધુ હોય છે.
વાસ્તવ જીવનની કપરી પરિસ્થિતિ કરતાંય બદતર પરિસ્થિતિ હોઈ શકે એ ધારણાથી પ્રેરાઈને લોકો હોરર પુસ્તકોના વાંચન તરફ વળે એ જ સૂચવે છે કે વિશ્વભરમાં અશાંતિ અને અરાજકતા આપણે કાને કે આંખે ચડે છે એથી અનેકગણી વધુ પ્રમાણમાં વ્યાપ્ત છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૬ – ૦૫ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી :સંસ્પર્શ : પ્રવેશ પરિચય
આ મહિનેથી દર ચોથા ગુરુવારે આપણે સુશ્રી જિગીષા પટેલની લેખશ્રેણી ‘સંસ્પર્શ’ શરૂ કરી રહ્યાં છીએ.એ પ્રસંગે સુશ્રી જિગીષા પટેલનો હાર્દિક આભાર માનવાની સાથે વેબ ગુર્જરી મંચ પર તેમનું સહર્ષ સ્વાગત કરીએ છીએ.સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.સંપાદક મંડળ – વેબ ગુર્જરી
‘સંસ્પર્શ’ લેખશ્રેણીની પ્રસ્તાવના/ જિગીષા દિલીપમિત્રો,
લ્યો, હું તો આવી ગઈ, તમારી સાથે વાતો કરવા, મારા વહાલા અને સૌને ગમતા ધ્રુવદાદા એટલે કે સન્માનીય શ્રી ધ્રુવ ભટ્ટ લઈને. ધ્રુવદાદા એટલે એક એવું સરળ, સહજ અને પરાણે વહાલું લાગે તેવું વ્યક્તિત્વ. ન કોઈ દેખાડો, ન કોઈ ઔપચારિકતા કે મોટાઈ. પોતાની જાતને, આખી દુનિયાને અને સમગ્ર પ્રકૃતિને મબલક પ્રેમ કરતું વ્યક્તિત્વ. તમે એમનું કોઈ પણ પુસ્તક કે ગીત વાંચો એટલે અંદરથી ને બહારથી ભર્યાભર્યા થઈ જાઓ. ભીતર છલકાઈ જાય. એ સંસ્પર્શથી જાણે પુલકિત થઈ જવાય, સમગ્ર દૃષ્ટિ અને સૃષ્ટિ બદલાઈ જાય.
એક મુલાકાત અંગે ધ્રુવદાદા સાથે વાતચીત કરવાનું બન્યું. તેમના એકદમ સાદા અને સહજ જીવન અંગે, તેમના પુસ્તક વિશે તેમજ તેમનાં ધ્રુવગીતો વિશે અવનવી વાતો જાણવા મળી. એમણે જે પુસ્તક કે કે ગીત લખ્યાં તે લખવાની પ્રેરણા તેમને કેવી રીતે મળી, તે પુસ્તક લખવા તેમણે કેટલો અને કેવો પ્રવાસ કર્યો,
એ બધી વાતો સાવ અલગ અને ખૂબ જ રસપ્રદ હતી. એ સમયગાળા દરમ્યાન જ તેમનાં પુસ્તક પરથી બનેલ ‘રેવા’ એવોર્ડ વિનીંગ ફિલ્મ જોવાનું બન્યું. ગીતા અને ઉપનિષદને ખાલી વાંચવાનાં નહીં પણ તે વિચારોને જીવનમાં ઉતારી તે મુજબ જીવવા પ્રયત્નશીલ બનવાનાં તેમના વિચારો , તેમજ નારી શક્તિને ઉજાગર કરવા, પોતાના રોજબરોજનાં જીવનમાં તેમજ તેમનાં પુસ્તકમાં સ્ત્રી પાત્રોને અદકેરું સ્થાન આપી પોતાના વિચારોની સુંદર રજૂઆત કરનાર ધ્રુવદાદાનાં પુસ્તકો મારાં મનને સ્પર્શી ગયાં, તેમની સાવ અભણ અને સાવ નાનામાં નાના માણસની વાતમાંથી મળતા મોટા ઉપદેશ શોધી તેની મહત્તા સમજી, સમજાવવાની વાત ખૂબ ઊંડી જીવનદૃષ્ટિ માંગી લે છે.
તેમની સાથે વાત કરતાં મને માણસની ‘જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ’નો અર્થ સમજાયો એટલે તેનો સંસ્પર્શ વાચકો સુધી પહોંચાડવાનું મને મન થયું. એમના પુસ્તકોને એક નવલકથાની જેમ વાંચી ન જવાય. તેનાં એકએક શબ્દને આલિંગન આપવું પડે, એકએક પાનાંને વાંચીને વાગોળવું પડે, કારણ તે વિચારો માત્ર સમકાલીન નહીં, દીર્ઘકાલીન, સમયાતીતકાલીન છે. તે વિચારોને તમારી ભીતર રોપવા પડે અને રોપશો તો તમે પણ નિજાનંદનો અનુભવ કરશો. કંઈક નવું જ પામશો. ધ્રુવદાદા તેમનાં લખેલ ગીતો માટે જરા પણ પઝેસિવ નથી એટલે ગીતો લખીને તે ગીતને લોકો સુધી પહોંચાડ્યાં પછી તેને” ગાય તેના ગીત “ તેવું નામ આપી સૌને તે ગીતો ગાઈને પોતાના બનાવવાનું આહ્વાહન આપે છે. તેમનાં પુસ્તકોમાં અને ગીતોમાં સંદેશ વગર આધ્યાત્મિકતાનું મૌન સૂચન છે.
તેમના પુસ્તકો વાંચી માણસ માત્ર તો શું, પશુ, પંખી, આકાશ, ધરતી, સાગર, અગ્નિ, વાયુ, સમગ્ર કાયનાત સાથે તમે વાતો કરતાં, પ્રેમ કરતાં થઈ જાઓ. તમે તમારામાં મસ્ત બની ગાવા લાગો. ઝૂવા લાગો. દુન્યવી કષાયોને ભૂલી નિજાનંદમાં ખોવાઈ જાવ.
જરા, આ બે કડી સાંભળીએ…
“એમ તમે બોલ્યા કે આવ્યા તે ‘આ’ ભૈ ને હું જ મને ઓળખતો નૈં
ચાલો આ એનાં ખાધા સોગંદ કહો જાત અમે ક્યાં ખોળી ભૈ.”તો ચાલો મિત્રો, આવતાં અંકથી શરૂ કરીશું આપણી ‘સંસ્પર્શ યાત્રા’ જાણીતા અને સૌનાં માનીતા કવિ અને લેખક શ્રી ધ્રુવ ભટ્ટનાં જુદાંજુદાં પુસ્તકોની અને ધ્રુવગીતોની વાતો થકી.
જિગીષા દિલીપ
જિગીષા પટેલ
પરિચયઃ
જન્મઃ અમદાવાદ, હાલ નિવાસ કેલિફોર્નિયા.
દિવ્યભાસ્કર ન્યુઝપેપરની કેલિફોર્નિયાની બ્યુરોચીફ અને કોમ્યુનિટી એમ્બેસેડર તરીકે પત્રકારત્વ સંભાળ્યું છે. સાથેસાથે કેટલાંય મુદ્રિત અને ડિજિટલ માધ્યમો પર ૫૧ વાર્તા, કવિતા, બાળકો માટે જુદીજુદી હોબી જેવા વિષયો પર આર્ટિકલ લખ્યા છે.
”કબીરો” મારો અલગારી ફકીર પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે. ન્યુજર્સીનાં રેડિયો ’રેડિયો દિલ‘ પરથી તે પુસ્તકનાં ૫૧ પ્રકરણનું પ્રસારણ થયું છે. ‘તુલસી ખુસરો ગૃપ’, ‘સાહિત્ય ફોરમ ગૃપ’ અને ‘કબીર ભક્ત સમાજ’ SRBS ગૃપમાં ઓનલાઈન કબીર પર વક્તવ્ય આપ્યાં છે.
