-
પ્રશંસા
મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
માણસને હવા, પાણી રોટી, કપડા, મકાન વગેરેની જરૂર છે તેવી જ રીતે પ્રશંસા પણ તેની મૂળભૂત જરૂરિયાત છે. મને તો લાગે છે કે માણસની ઉદરપુર્તિ ઇત્યાદિ પ્રવૃતિ સિવાયની તમામ પ્રવૃતિ પ્રસંશા કરવા કે મેળવવા માટે જ થતી હોય છે. કદાચ આ લેખ પણ એ હેતુથી જ લખાઈ રહ્યો છે.
જૂના વખતમાં ગામડામાં “જોષી મહારાજ આવ્યા છે, જોષ જોવરાવો” ફેરિયાની જેમ બૂમ પડતા જોષીઓ (હા જોષીઓ જ, ગોલ્ડ મેડાલિસ્ટ જ્યોતિષિઓ તો પછીથી આવ્યા) લગભગ બધી જ મહિલાનું એકસરખું ‘જોષ’ જોતા. “બોન, તમે કુટુંબ માટે આખો દિવસ ઢસરડો કરો છો, પરંતુ તમારા ભાગ્યમાં જશ નથી.” જોષીનું આ વચન દરેક મહિલાને સો ટકા સાચું લાગતું. તેનું મુખ્ય કારણ એ હતું કે જેમ મહિલાઓને ખાવાપીવા તથા પહેરવાઓઢવાની બાબતોમાં અન્યાય થતો, તેવી જ રીતે તેમણે કરેલા કાર્યની પ્રસંશા (કદર)કરવામાં પણ અન્યાય થતો.
પેલી જાણીતી વાર્તા મુજબ ચાંચમાં પૂરી લઈને ઝાડ પર બેઠેલા કાગડાના વખાણ કરીને શિયાળે તેને છેતરીને પૂરી પડાવી લીધી હતી. એથી આપણે કાગડાને મૂર્ખ માનવા પ્રેરાઈએ છીએ. પરંતુ આપણે કોઈએ વિચાર ન કર્યો કે કાગડા જેવું ચતુર પક્ષી એમ સહેજમાં કેમ છેતરાઈ જાય? પોતાની કોઈ પેઢીએ કદી પણ સાંભળ્યા ન હતા એવા પોતાના રૂપ, રંગ કે અવાજના વખાણ માણવા માટે એકાદ પૂરી આપવી પડે તો એ સોદો કાગડાને સસ્તો લાગ્યો હશે. તેણે વિચાર્યું હશે કે પૂરી તો બીજી ગમે ત્યાંથી મળી જશે, પરંતુ પ્રશંસા મેળવવાનો મોકો તો યુગાંતરે જ મળી શકે!
કહેવત છે કે વખાણ વહુ કરતા પણ વહાલા હોય છે. આમ પ્રશંસા દરેક ને ગમતી હોય છે. કહેવાની જરૂર નથી કે ખુદ ખુદા પણ તેમાં અપવાદ નથી. કદાચ એમ પણ કહી શકાય કે પ્રસંશા ની સૌથી વધારે જરૂર ભગવાનને જ છે. લોકોએ જુદા જુદા સંપ્રદાયો સ્થાપ્યા તેનો હેતુ ઇશ્વરની પ્રશંસામાં વૈવિધ્ય લાવવાનો જ છે. આપણે જેને ભક્તિ કહીએ છીએ તેમાં જે પ્રાર્થના, ઇબાદત કે સ્તુતિ કરીએ છીએ તે બીજું કશું નથી પણ ઇશ્વર કે અલ્લાને પરમ કૃપાળુ દીનદયાળ સર્વશક્તિમન કે અન્ય ગુણધારક વગેરે કહીને તેમની પ્રસંશા જ છે. આ રીતે પ્રસંશા કરીને પછી આપણી માગણી રજૂ કરીએ છીએ. રાજાશાહીમાં પણ રાજાના દરબારમાં રાજાને પરદુ:ખભંજન કે એવા કોઇ વિશેષ ગુણોથી નવાજીને જ પોતાની માગણી રજૂ કરવાનો ચાલ હતો.
આધુનિક લોકશાહીમાં રાજકારણમાં આગળ આવવા માટે મોટા નેતાની પ્રસંશાથી શરૂઆત કરવી પડે છે. અજ્ઞાની લોકો આને ખુશામત કરવી કે મસ્કો મારવો કહીને ભલે પ્રસંશાનુ અવમૂલ્યન કરતા હોય, પણ રાજકારણની સીડી ચડવા માટે તે આવશ્યક પગથિયું છે. માત્ર રાજકારણ જ શા માટે? ધર્મકારણમાં ગુરુગાદી માટે કે નોકરીમાં પ્રમોશન મેળવવા માટે જરૂરિયાત મુજબ પ્રશંસા કરવી આવશ્યક છે.
વાત સાચી છે કે પ્રસંશા અને ખુશામતમાં તફાવત છે. પરંતુ જો કલાકાર કુશળ હોય તો ખુશામત પણ પ્રશંસા જ ભાસે છે. માત્ર ખુશામત જ નહિ પરંતુ કોઇને કશીક ટકોર પણ એવી રીતે કરી શકાય છે કે તેને પ્રશંસા કરી તેમ લાગે. જાણવા મળ્યું છે કે નાગરો આ બાબતે નિષ્ણાત હોય છે. કોઇ સબંધી કે મિત્રના ઘરે નાગર જાય અને તે વ્યક્તિ ઘર બંધ કરીને બહાર ગઈ હોય તો નાગર બચ્ચો એમ નથી કહેતો કે ભાઈ, હું આવ્યો ત્યારે તમે ઘરે ન હતા. પરંતુ તેને બદલે કહે છે “ભાઈ તમે તાળું સરસ વાપરો છો!”

Yes, It Is My Deceased Wife!…Only You Have Flattered Her Too Much! By Honoré Daumier – Online Collection of Brooklyn Museum; સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ‘કીડીને કણ અને હાથીને મણ’ એ ઉક્તિ માણસની પ્રશંસાની જરૂરિયાત બાબતે પણ સાચી છે. આર્થિક, ધાર્મિક, સામાજિક કે રાજકીય રીતે માણસ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ તેની પ્રશંસા માટેની ભૂખ વધતી જાય છે. જૂના વખતમાં રાજાઓ પોતાનાં યશોગાન માટે રાજદરબારમાં કવિઓની ભરતી કરતા. હાલના સમયમાં આ કામ છાપાના કોલમિસ્ટો કે ટિવીના એંકરોએ ઉપાડી લીધું છે.
આમ છતાં જેમ નાણા કે ચીજવસ્તુ બાબતે લોભિયા માણસો હોય છે તેમ પ્રશંસા માટેના કરકસરિયા અને લોભી લોકો હોય જ છે. સાહિત્યમાં કેટલાક વિવેચકો એવા હોય છે જે ભાગ્યે જ કોઇની કૃતિની પ્રશંસા કરે છે. સર્જકો તેમને દુરાધ્ય કહેતા હોય છે. વર્ષો પહેલા કવિ દલપતરામે પેલા શરણાઇ વગાડનારાને ભેટેલા કંજુસ શેઠની વાત કરી છે. તે શેઠની ઉક્તિ ખૂબ જ જાણીતી છે. “પોલું હતું તો વાગ્યું, સાંબેલુ વગાડ તો જાણું શાણો” આમ કહેવા પાછળ શેઠનો હેતું શરણાઇવાળને બક્ષીસ આપવાનું ટાળવાનો હતો. આ રીતે તેમણે પ્રશંસાની કરકસર કરીને નાણાની પણ બચત કરી લીધી.
માણસને કોઇ વણમાગી સલાહ આપે તે પસંદ નથી હોતું પરંતુ પોતાનો અણગમો વ્યકત કરાતો નથી. પ્રશંસા બાબતે વાત એકદમ વિપરીત હોય છે. પોતાના વખાણ ખૂબ જ ગમતા હોવા છતાં, તેનો આનંદ વ્યકત કરાતો નથી. પેલાં ફિલ્મી ગીતની પંક્તિ “હોઠો પે તો ‘ના’ થી મગર દિલમે ‘હા’ થી” એ પ્રશંસા મેળવનારને પણ લાગુ પડે છે. કેટલીક વખત જેમની પ્રશંસા કરવામાં આવે તે અતિ નમ્ર બની ગયાનો અભિનય કરતા હોય છે. આથી પ્રશંસા કરનારે સમજી લેવું જોઇએ કે પેલી વ્યક્તિ વધુ પ્રશંસા પ્રાપ્ત કરવા માટે ‘દુબારા, દુબારા’ એમ કહી રહી છે.
કેટલાક લોકો પ્રશંસા માટે આત્મનિર્ભર હોય છે. તેમનું પહેલું વાક્ય હોય છે. “હું મારા વખાણ નથી કરતો” ત્યાર પછીની તેમની બધી જ કથા પોતે મેળવેલી કે કાલ્પનિક સિદ્ધિઓથી ભરેલી હોય છે.
કેટલાક લોકોને પ્રશંસા સાંભળવાનું વ્યસન થઈ જાય છે. જેમ ચા પીધા વિનાની સવાર એ સવાર નથી કહેવાતી તેમ તેઓને પોતાની પ્રશંસા સાંભળ્યા વિનાનો દિવસ સાચો દિવસ લાગતો નથી. પરંતુ ભગવાન જેમ બધાને સવારે ભૂખ્યા ઊઠાડે છે પણ કોઈને ભૂખ્યા સૂવા દેતો નથી, તેમ પ્રશંસાના વ્યસનીઓને પણ કોઇ ને કોઇ મળી રહે છે.
પ્રશંસા પ્રાપ્ત કરનારે પ્રશંસકનો હેતુ જાણી લેવો જોઈએ. ભગવાન શિવ તેમની સ્તુતિ કરનાર ભસ્માસુરનો હેતુ જાણી ન શકયા તેથી મુશ્કેલીમાં મૂકાયાની કથા જાણીતી છે જ.
સુજ્ઞ વાચકો જાણે જ છે કે માણસને કોઇ સારા કાર્યને પ્રોત્સાહન આપવા માટે તેના યોગ્ય પ્રમાણમાં વખાણ કરવા જ જોઇએ. પ્રશંસા તેને માટે ઉદદીપકનું કામ કરે છે. આથી જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય પ્રમાણમાં પ્રશંસા કરવી જ જોઇએ. આપણી આસપાસની વ્યક્તિઓ સાથેના સબંધોમાં ઉષ્મા આણવાનો આ પણ એક માર્ગ છે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
દેશ અને દુનિયામાં પક્ષીઓ ઘટી રહ્યાં છે !
નિસબત
ચંદુ મહેરિયા
આ દિવસોમાં ગુજરાત અને દેશના અન્ય રાજ્યોના પક્ષી અભયારણ્યોમાં પક્ષી મહોત્સવો ઉજવાઈ રહ્યાં છે. પટણામાં તો ઈન્ટરનેશનલ બર્ડ કોન્ફરન્સ યોજાઈ હતી. પક્ષીઓની વસ્તીમાં વૃધ્ધિ અને તેમના પ્રત્યે લોકોમાં સંવેદનશીલતા તથા જાગ્રતિ કેળવાય તે આશયથી આ ઉજવણીઓ થઈ રહી છે. પાંચમી જાન્યુઆરીના નેશનલ બર્ડ ડે ઉપરાંત યાયાવર પક્ષીઓના ભારતમાં આગમન અને નિવાસ તથા પક્ષીઓની ગણતરીની પણ આ મોસમ છે.
ભારતીય સંસ્કૃતિમાં પક્ષીઓનું ખૂબ મહત્વ છે. ભારત ૧૩૫૦ થી વધુ પક્ષી પ્રજાતિનું ઘર છે. તમામ ભારતીય ભાષાઓનું સાહિત્ય પક્ષીઓથી ભર્યું પડ્યું છે. પક્ષીઓના આલેખન વિનાના બાળ સાહિત્યની તો કલ્પના પણ થઈ શકે તેમ નથી. ગુરુ નાનકે ‘રામદી ચિડીયા, રામદા ખેત / ચુગ લો ચિડીયા, ભરભર પેટ ! ‘ કંઈ અમસ્તા નથી ગાયું. ‘ રે પંખીડા સુખેથી ચણજો’ કે ‘પંખીઓએ કલશોર કર્યો ભાઈ’ ઠાલી કવિતાઓ નથી માનવીના જીવનનો ભાગ છે. પંખીઓના કલરવ, કલશોર અને કલબલાટ તથા તેમનાં અવનવા આકર્ષક રંગોથી શુષ્ક માનવજીવનમાં રંગો ભરાય છે.
ચકલીની ચીંચીંને ટી.વી.એન્ટેના અને મોબાઈલ ટાવર ભરખી ગયા તેને તો હવે બે દાયકા થયા. ઘરમાં જ ક્યાંક માળો બાંધતી ચકલી કે ચકાચકીની વાર્તા હવે ભૂતકાળ બની ગયાં છે. હવે માત્ર ચકલી કે ગીધ જ નહીં ઘણી પ્રજાતિનાં પક્ષીઓની વસ્તી દેશ અને દુનિયામાં ઘટી રહી છે. આ નજરે જોયું સત્ય તો છે જ તેને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અભ્યાસ-સંશોધનથી પુરવાર પણ કરવામાં આવ્યું છે. સ્ટેટ ઓફ ધ વલ્ડ બર્ડસ રિપોર્ટ -૨૦૨૨ અને સ્ટેટ ઓફ ધ ઈન્ડિયાઝ બર્ડ રિપોર્ટ- ૨૦૨૩ના તારણો જણાવે છે કે દુનિયાની તમામ પક્ષી પ્રજાતિમાંથી અડધોઅડધ ઘટી રહી છે. વધુ ચિંતાજનક એ છે કે દર આઠે એક પક્ષી પ્રજાતિ વિલુપ્તિની કગાર પર છે.
૩૦,૦૦૦ પક્ષી દર્શકોના ૩૦ મિલિયન નિરીક્ષણોના એકત્ર આંકડા અને દેશની ૧૩ સરકારી-બિનસરકારી સંસ્થા-સંગઠનોના પ્રથમ સહયોગાત્મક પ્રયાસોથી ભારત પક્ષી સ્થિતિ અહેવાલ-૨૦૨૩ તૈયાર થયો છે. આ અહેવાલમાં ભારતમાં નિયમિત રીતે જોવા મળતી યાયાવરસહિતની પક્ષી પ્રજાતિઓની સમગ્ર સંરક્ષણ સ્થિતિનું મૂલ્યાંકન છે. આ રિપોર્ટની સૌથી આનંદદાયક બાબત એ છે કે ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરની વસ્તી ફૂલી-ફાલી રહી છે. છેલ્લા થોડા દાયકાઓમાં મોરની વિપુલતામાં દોઢસો ટકાનો વધારો થયો છે. જે મોર ૧૯૯૮માં કેરળના માત્ર બે જ જિલ્લામાં જોવા મળતા હતા તે હવે આખા કેરળમાં જોવા મળે છે. ભારતીય મોરની વસ્તી વધવાનું કારણ વિભિન્ન આવાસ અને ખાધ્ય સંસાધનો સાથેનું અનુકૂલન છે. ભારતીય મોર ઉપરાંત એશિયન કોયલની વસ્તી પણ વધી છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી સ્ટેટ ઓફ ધ ઈન્ડિયાઝ બર્ડ રિપોર્ટ- ૨૦૨૩ માં પક્ષીઓની વસ્તીમાં જોવા મળતા દીર્ઘકાલીન અને વાર્ષિક ફેરફારો નોંધવામાં આવ્યા છે. ૩૦ વરસોના પરિવર્તનોને લાંબાગાળાના અને આઠ વરસોનાને વાર્ષિક ગણવામાં આવ્યા છે. દીર્ઘકાલીન કે ૩૦ વરસોના વલણોના આકલના માટે જે ૩૩૮ પ્રજાતિઓના પક્ષીઓની પર્યાપ્ત વિગતો ઉપલબ્ધ થઈ હતી તેમાંથી ૬૦ ટકામાં ઘટાડો જોવા મળ્યો છે. ૨૦૪ પ્રજાતિના પક્ષીઓની સંખ્યા લાંબા સમયથી અને ૯૮ ઝડપથી ઘટી રહી છે. માત્ર ૩૬ પ્રજાતિમાં જ વૃધ્ધિ જોવા મળી છે. જે ૩૫૯ પ્રજાતિમાં છેલ્લા આઠ વરસોમાં ફેરફાર જોવા મળ્યા તેમાં ૪૦ ટકાની વસ્તી ઘટી રહી છે. કુલ ૯૪૨ પ્રજાતિના પક્ષીઓના ઘટાડા પર સરકાર અને સમાજે ધ્યાન આપવાની જરૂર છે. જોકે ૧૭૮ પ્રજાતિઓને સર્વોચ્ચ પ્રાથમિકતાના ધોરણે બચાવવાની કે સંરક્ષણની જરૂર છે. જો તેમ નહીં કરવામાં આવે તો તે નાશ પામશે. બીજી ૩૨૩ પ્રજાતિને મધ્યમ અને ૪૪૧ને નિમ્ન મધ્યમ પ્રાથમિકતાથી સંરક્ષણ આપવાની જરૂર હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
પક્ષીઓની વસ્તીમાં ઘટાડા માટે અનેક કારણો અને પરિબળો જવાબદાર છે. આદ્ર્રભૂમિ અને ઘાસના મેદાનોમાં જોવા મળતા પક્ષીઓની વસ્તીમાં થયેલા ઘટાડાનું કારણ તેમને અનુકૂળ નિવાસ અને પરિવેશમાં ઘટાડો છે. પક્ષીઓને નિર્વાહ માટે જરૂરી એવા જળપ્લાવિત કે વેટલેન્ટમાં ઘટાડો પણ તેમની વસ્તી ઘટાડે છે. એક અંદાજ પ્રમાણે ૧૯૭૦ પછી દેશની ૩૫ થી ૪૦ ટકા વેટલેન્ડ નાશ પામી છે અને તેનો અન્ય ઉપયોગ થાય છે. નદી કિનારે માળા બનાવી રહેતા પક્ષીઓ નદી કિનારે થયેલા દબાણોથી ઘટી રહ્યાં છે. શહેરીકરણ, વન વિસ્તારમાં ઘટાડો, જળવાયુ પરિવર્તન, પક્ષીઓનો ગેરકાયદે શિકાર અને તેનો વેપાર, ખાધ્ય સંસાધનોમાં હાનિકારક પ્રદૂષકો , માનવીય હસ્તક્ષેપ, અનિયંત્રિત માળખાકીય વિકાસ, મોબાઈલ ટાવરના રેડિએશન, પતંગ માટે વપરાતી ચાઈનીઝ દોરી, ખેતીમાં વપરાતા જંતુ નાશકો અને વધતા હવાઈ ઉડયન્નો પણ પક્ષીઓની વસ્તીના ઘટાડા માટે જવાબદાર છે.
માનવીએ રચેલી ભૌગોલિક સીમાઓને પક્ષીઓ સ્વીકારતા નથી. ગુજરાતમાં છેક ઉત્તર ધૃવ અને સાઈબેરિયાથી પક્ષીઓ આવે છે. પણ તેમના કુદરતી આવાસમાં માનવીય હસ્તક્ષેપ વધતો જશે તો તે આવતા ઘટશે કે નાશ પામશે. પક્ષીઓની સંખ્યામાં થઈ રહેલા મોટા ઘટાડાને અટકાવવા માટે રાષ્ટ્રીય અને વૈશ્વિક ધોરણે પક્ષીઓની સ્થિતિ સંબંધી આ અહેવાલો આપણી આંખ ઉઘાડનારા છે. પક્ષીઓ કીડા મકોડા ખાઈને પાકને બચાવે છે. તેમનો માનવજાત પરનો આ ઉપકારક આપણે ભૂલવો ના જોઈએ. એટલે પક્ષીઓને બચાવવા અલ્પ માનવીય હસ્તક્ષેપના પક્ષી અભયારણ્યો અને સંરક્ષિત ક્ષેત્રો બનાવવા જોઈએ. તમામ પ્રકારના પ્રદૂષણો ઘટાડવા જોઈશે કે નિયંત્રિત કરવા જોઈશે. ટકાઉ ઉર્જા સ્ત્રોતમાં વૃધ્ધિ અને ગ્રીન હાઉસ ઉત્સર્જન ઓછું કરવાની પણ આવશ્યકતા છે. પક્ષીઓના પ્રાકૃતિક વન આવાસોને સંરક્ષવા જોઈએ. પક્ષીઓ માટે જોખમરૂપ પશુ ચિકિત્સાની દવાઓ પ્રતિબંધિત કરવી જોઈએ.પડતર બિનઉપજાવ જમીનોને નવસાધ્ય કરવાની નીતિ તર્કસંગત હોવી જોઈએ. તે પક્ષીઓનો વિનાશ નોતરે તેવી ન હોઈ શકે.
પક્ષીઓની સ્થિતિ દર્શાવતા અહેવાલો દુર્લભ અને ઘટતી પ્રજાતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને બચાવવાના ઉપાયો શોધવાની દિશામાં નોંધપાત્ર છે. અનેક દેશી-વિદેશી પક્ષીઓના માથે અસ્તિત્વનું સંકટ જોવા મળી રહ્યું છે. ૨૦૨૦ના ભારતના પહેલા પક્ષી સ્થિતિ રિપોર્ટમાં જે ૧૦૧ પક્ષીઓની પ્રજાતિઓને સંરક્ષણની ઉચ્ચ પ્રાથમિકતાની શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા તેમાંથી પોણાભાગના (૭૪) ૨૦૨૩માં પણ તે જ શ્રેણીમાં છે. એટલે પંખીઓનો કલરવ સાંભળવો હશે અને તેના અવનવા રંગ નિહાળવા હશે તો વિના વિલંબે જાગવું પડશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈનો લાડકવાયો (૪૨) – ગદરના વીરો (૫)
દીપક ધોળકિયા
ગદરના વીરો (૪) થી આગળ
ચબ્બા ગામમાં ધાડ
૧૯૧૫ની બીજી ફેબ્રુઆરીએ ગદરીઓએ ચબ્બા ગામે ધાડ પાડી તે ગદર પાર્ટી માટે ભારે નુકસાનકારક સાબીત થઈ. એમાં પકડાયેલા ગદરીઓમાંથી એક કાકા સિંઘે પોલીસના જુલમને કારણે બધું કબૂલી લીધું અને એમની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી દીધી. આના પછી પોલીસે ડેપ્યુટી સુપરિંટેંડન્ટ લિયાકત હયાત ખાનને ગદર પાર્ટીમાં જાસુસ ગોઠવી દેવાની જવાબદારી સોંપી. લિયાકતે કૃપાલ સિંઘ નામના શખ્સ મારફતે ૨૩મી ડિવીઝનમાં કામ કરતા એના ભત્રીજા બલવંત સિંઘને કામે લગાડ્યો. ૨૧મી ફેબ્રુઆરીએ વિદ્રોહ થશે એ બલવંતે જાણી લીધું. વિદ્રોહ વિશે ચર્ચા કરવા ૧૪મીએ બધા નેતાઓ લાહોરમાં એક મકાનમાં એકઠા થયા. બલવંતનો લાહોર પોલીસમાં કોઈ સંપર્ક નહોતો એટલે એણે અમૃતસરમાં પોલીસને તાર દ્વારા આ બેઠકની જાણ કરી. પણ ત્યાંથી કોઈ ન આવ્યું. બીજા દિવસે બલવંતને નજીકના ગામે માહિતી પહોંચાડવા મોકલ્યો પણ તેને બદલે એ સ્ટેશને ગયો. ત્યાં ગદર પાર્ટીના બે નેતા હતા. એમને શંકા પડી કે બલવંત કંઈક કરે છે. એ દિવસે પોલીસ ટુકડી આવી પણ બેઠક જ્યાં મળી હતી તે મકાનમાં એ વખતે માત્ર ત્રણ જણ હતા એટલે પોલીસને લાગ્યું કે છાપો મારવાનો અર્થ નથી, બધા ભેગા થાય તેની રાહ જોવી જોઈએ. આવા કેટલાક બનાવો બન્યા પછી ગદરના નેતાઓએ વિદ્રોહ ૨૧મીને બદલે ૧૯મીએ જ કરવાનું નક્કી કર્યું કે જેથી જાસૂસો અંધારામાં રહે. પણ ૧૯મીની સવારે કૃપાલ સિંઘના સંકેત પરથી પોલીસે એ મકાનમાં જેટલા ગદરી હતા એમને પકડી લીધા. ૧૯મીની રાતે ફિરોઝપુરથી ટ્રેનમાં પચાસેક ગદરીઓ કરતાર સિંઘ સરાભાની સરદારી નીચે લાહોર ઊતર્યા. એમણે સાથે ઢોલ અને હાર્મોનિયમ પણ રાખ્યાં હતાં કે જેથી કીર્તનનો ‘જથ્થો’ (મંડળી) છે એમ લાગે. ત્યાંથી તો એ હેમખેમ નીકળી ગયા પણ ૨૦મીની સવારે બજારમાં પોલીસ સાથે એમની ચડભડ થઈ ગઈ. એક જણે પોલીસ પર ગોળી ચલાવી દીધી. પછી એક જગ્યાએ પાણી પીવા રોકાયા ત્યાં ત્રણમાંથી એક પકડાઈ ગયો અને બે ભાગી છૂટ્યા.
કરતાર સિંઘ સરાભા અને બીજા બધા પંજાબ છોડી દેવાની તૈયારીમાં હતા ત્યાં તો પોલીસે આવીને છાપો માર્યો અને બધાને પકડી લીધા.
લાહોર કાવતરા કેસ
બધા સામે કેસ માંડવામાં આવ્યો જે આપણા ઇતિહાસમાં ‘પહેલા લાહોર કાવતરા કેસ’ તરીકે ઓળખાય છે. આમાં બે જણને ફાંસી અપાઈ. પરંતુ પંજાબના ગવર્નર માઇક્લ ઑડ્વાયરને શાંતિ નહોતી થઈ. એણે ‘ડિફેન્સ ઑફ ઇંડિયા ઍક્ટ’ મંજૂર કરાવ્યો અને વ્યાપક સત્તાઓ મેળવી લીધી.
તે પછી ૮૧ જણ સામે જુદા જુદા કેસ દાખલ થયા.
કેસ દરમિયાન આરોપીઓની ઓળખ પરેડમાં એક સાક્ષી આરોપીઓને ઓળખી ન શક્યો. એણે કહ્યું કે આરોપીઓએ પાઘડીઓ બદલી નાખી છે એટલે ઓળખાતા નથી. આ સાંભળીને આરોપીઓમાંથી એક જ્વાલા સિંઘે કહ્યું કે પાઘડી બદલી છે, ચહેરા નથી બદલ્યા. જજ આ સાંભળીને ખિજાયો. એણે તરત જ જ્વાલા સિંઘને ત્રીસ કોરડા મારવાનો હુકમ કરી દીધો.
કૅનેડાથી આવેલા ગદરના નેતા બલવંત સિંઘ ખુર્દપુર માટે ઑડ્વાયરે પોતે જ લખ્યું કે આ ખૂંખાર ગદરી છે. આ ટિપ્પણીને કારણે એમને મોતની સજા કરવામાં આવી.

૧૮ વર્ષના કરતાર સિંઘ સરાભાએ પણ કબૂલ્યું કે એ વિદ્રોહ કરવા માગતા હતા. જજે એમની ઉંમરને ધ્યાનમાં લઈને કહ્યું કે એણે અપરાધ કબૂલ ન કરવો જોઈએ. વિચાર કરવા માટે સરાભાને એક દિવસ આપવામાં આવ્યો. બીજા દિવસે પણ એમણે એ જ જવાબ આપ્યો. એમને પણ ફાંસીની સજા કરવામાં આવી.
સરદાર સોહનસિંઘ ભકના સહિત ૨૪ જણને ફાંસીની સજા કરવામાં આવી. પરંતુ એમાંથી એક પણ જણે દયાની અરજી ન કરી. ફાંસીની આગલી રાતે બધા ગદરનાં ગીતો ગાતા રહ્યા. મળસ્કે જેલનો અધિકારી આવ્યો અને સમાચાર આપ્યા કે સોહન સિંઘ ભકના સહિત ૧૭ જણની ફાંસીની સજા ઉંમરકેદમાં ફેરવી દેવાઈ છે.
બીજા દિવસે ૧૯૧૫ની ૧૬મી નવેમ્બરની સવારે કરતાર સિંઘ સરાભા, જગત સિંઘ સુરસિંઘ, વિષ્ણુ ગણેશ પિંગલે, હરનામ સિંઘ સ્યાલકોટિયા અને ત્રણ ભાઈઓ બખ્શીશ સિંઘ, સુરૈણ સિંઘ અને સુરૈણ સિંઘ (બીજા)ને લાહોરની જેલમાં ફાંસી આપી દેવાઈ.
શહીદેઆઝમ ભગત સિંઘ એ વખતે આઠ વર્ષની ઊંમરના હતા. સરાભાના બલિદાને એમના મન પર ભારે અસર કરી હતી. કરતાર સિંઘ સરાભા એમના માટે આદર્શ રૂપ હતા અને ભગત સિંઘ એમના જેમ જ પોતાનું બલિદાન આપવાનાં સપનાં જોતા હતા.
૦૦૦
સંદર્ભઃ
- गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩. ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક) | સંપર્કઃ daanishbooks@gmai.com //www.daanishbooks.com
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
ગુજરાતમાં સ્વાતંત્ર્યસંગ્રામ
જયકુમાર ર. શુક્લ
રક્ષા મ. વ્યાસ
ગુજરાતમાં રાષ્ટ્રીય જાગૃતિ માટેની પ્રવૃત્તિઓ ઓગણીસમી સદીમાં શરૂ થઈ.
કવિ નર્મદે ગુજરાતમાં દેશભક્તિની જ્યોત જગાવી. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના ‘સ્વતંત્રતા’ નામના અખબારે દેશભક્તિનો પ્રચાર કર્યો. દાદાભાઈ નવરોજીએ મુંબઈ અને ગુજરાતમાં આર્થિક તથા રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગ્રત કરી. ૧૮૭૧માં સૂરત તથા ભરૂચમાં અને ૧૮૭૨માં અમદાવાદમાં ‘પ્રજાસમાજ’ નામની રાજકીય સંસ્થા સ્થપાઈ. ૧૮૮૨માં ડૉ. હરિ હર્ષદ ધ્રુવ અને ઊકાભાઈ પરભુદાસે ‘પ્રજાહિતવર્ધક સભા’ સ્થાપી. ૧૮૮૪માં અમદાવાદમાં ‘ગુજરાત સભા’ની સ્થાપના કરવામાં આવી. તેના આગેવાનો રમણભાઈ નીલકંઠ, ડૉ. બેન્જામિન, હરિલાલ દેસાઈભાઈ તથા વકીલ ગોવિંદરાવ પાટીલ હતા. તે સભા અરજીઓ દ્વારા લોકોના પ્રશ્નો પ્રત્યે સરકારનું ધ્યાન દોરતી. ગુજરાતમાં સ્વદેશીનો પ્રચાર ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી શરૂ થયો. ૧૮૭૬માં અંબાલાલ સાકરલાલ દેસાઈએ અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળી સ્થાપી. તેના અન્ય આગેવાનો રણછોડલાલ છોટાલાલ, પ્રેમાભાઈ હિમાભાઈ, મણિભાઈ જશભાઈ વગેરે હતા. ૧૮૮૫ના ડિસેમ્બરમાં મુંબઈમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના કરવામાં ગુજરાતીઓએ મુખ્ય ભાગ ભજવ્યો. મહાસભાનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ગુજરાતી સંસ્થા ગોકળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળાના મકાનમાં મળ્યું. તેમાં સૂરતના ૬, અમદાવાદના ૩, વીરમગામના ૧ તથા મુંબઈના ૧૮માંથી મોટાભાગના પ્રતિનિધિઓ ગુજરાતી હતા. કાગ્રેસમાં આગેવાન ગુજરાતીઓ દાદાભાઈ નવરોજી, ફિરોજશાહ મહેતા, દિનશા વાચ્છા, ડૉ. હરિ હર્ષદ ધ્રુવ, અંબાલાલ સાકરલાલ દેસાઈ વગેરે હતા. ૧૯૦૨માં અમદાવાદમાં કૉંગ્રેસનું અધિવેશન ભરાયું તે ગુજરાત સભાને આભારી હતું. તેની સ્વાગત સમિતિના પ્રમુખ અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા. આ અધિવેશને અમદાવાદની જનતામાં રાષ્ટ્રીય જાગૃતિનો સંચાર કર્યો.
૧૯૦૩માં અમદાવાદમાં સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી દ્વારા સ્વદેશી ચળવળને વેગ આપવામાં આવ્યો. બંગાળમાં ૧૯૦૫માં સ્વદેશીની ચળવળ શરૂ થયા બાદ ‘સ્વદેશી મિત્રમંડળ’ સ્થાપવામાં આવ્યું, તેણે ‘સ્વદેશી કીર્તનસંગ્રહ’ પ્રગટ કર્યો. ૧૯૦૬માં અમદાવાદમાં ગાંધી માર્ગ પરના એક મકાનમાં સ્વદેશીની ચળવળ અંગે ભરાયેલી સભામાં, આશરે ૫૦ વિદ્યાર્થીઓમાં બંગાળીઓ પણ હતા. તેમાં પ્રથમ વાર ‘વંદે માતરમ્’ ગીતનું ગુજરાતી રૂપાંતર ગાવામાં આવ્યું. તે સભામાં બૅરિસ્ટર જીવણલાલ દેસાઈએ આ ચળવળમાં બંગાળીઓના જુસ્સાની પ્રશંસા કરી. ૧૯૦૯માં સ્વદેશી મિત્રમંડળે અમદાવાદમાં સ્વદેશી સ્ટોર શરૂ કર્યો. તેનું સંચાલન કૃપાશંકર પંડિત કરતા હતા. ૧૯૦૭માં સૂરતમાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે ત્રિભોવનદાસ માળવી સ્વાગત સમિતિના પ્રમુખ હતા. તેમાં વડોદરાના પ્રોફેસર ટી. કે. ગજ્જરે મવાળ અને જહાલ જૂથ એક થાય તે માટે પ્રયાસો કર્યા હતા.
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા વડોદરાની કૉલેજના પ્રોફેસર અરવિંદ ઘોષ પાસેથી મળી. આ સમયે કચ્છી-ગુજરાતી શ્યામજી કૃષ્ણવર્માએ ૧૯૦૫માં લંડનમાં ‘ધી ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ’ નામનું માસિક શરૂ કરીને તથા ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ સ્થાપીને ભારતની સ્વતંત્રતા માટે ક્રાંતિકારી પ્રવૃત્તિનો પ્રચાર કરવા માંડ્યો. લીંબડીના સરદારસિંહ રાણા તથા માદામ ભિખાઈજી કામા પણ પૅરિસમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો પ્રચાર કરતાં હતાં. ખેડા જિલ્લાના નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલે બંગાળી પુસ્તક ‘મુક્તિ કૌન પથેર’નો ગુજરાતીમાં અનુવાદ કરી ‘વનસ્પતિની દવાઓ’, ‘યદુકુળનો ઇતિહાસ’ વગેરે નામે પ્રગટ કરી, તેમાં બૉમ્બ બનાવવાની રીતો વર્ણવી. કઠલાલના મોહનલાલ કામેશ્વર પંડ્યા અને વકીલ પૂંજાભાઈ ભટ્ટ, વલભીપુરના બેચરદાસ પંડિત, મક્ધાજી દેસાઈ, કૃપાશંકર પંડિત વગેરે આ પ્રવૃત્તિમાં સક્રિય હતા. ૧૩ નવેમ્બર, ૧૯૦૯ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહારથી જતી વાઇસરૉય લૉર્ડ મિન્ટોની બગી ઉપર બે બૉમ્બ નાખવામાં આવ્યા. તેમાં બેઠેલાં લૉર્ડ અને લેડી મિન્ટો બચી ગયાં; પરંતુ પાછળથી થયેલા બૉમ્બના ધડાકાથી એક સફાઈ કામદાર મરણ પામ્યો. આ બનાવ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓને પકડવામાં સરકારને નિષ્ફળતા મળી. ૧૯૨૯માં અમદાવાદમાં એક દરજીના મકાનમાં બૉમ્બ ફૂટ્યો હતો. ૧૯૩૩માં અમદાવાદમાં બે વિદેશી કાપડની દુકાનો ઉડાવી દેવા એકઠા કરેલા રાસાયણિક પદાર્થો એક મકાનમાંથી મળી આવ્યા હતા.

કોચરબ આશ્રમ, અમદાવાદ અમદાવાદમાં થિયૉસૉફિસ્ટ મગનભાઈ ચતુરભાઈ પટેલે ઑક્ટોબર, ૧૯૧૬માં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા સ્થાપી. નડિયાદ, સૂરત, ઉમરેઠ, ભરૂચ, ગોધરા વગેરે સ્થળોએ હોમરૂલ લીગની શાખાઓ સ્થાપવામાં આવી. ખેડા જિલ્લામાં હોમરૂલ લીગની ૮૬ શાખાઓ સ્થપાઈ હતી. અમદાવાદની આસપાસનાં ગામોમાં હોમરૂલ(સ્વરાજ)નો પ્રચાર કરવા સભાઓ યોજવામાં આવી હતી. ગુજરાતમાં હોમરૂલનો પ્રચાર કરવા મુંબઈથી ‘બૉમ્બે ક્રૉનિકલ’ના તંત્રી બી. જી. હૉર્નિમૅન, જમનાદાસ દ્વારકાદાસ, કનૈયાલાલ મુનશી વગેરે નેતાઓ ગુજરાતનાં શહેરોમાં જઈને ભાષણો કરતા. એની બેસન્ટે ફેબ્રુઆરી–માર્ચ, ૧૯૧૮માં ગુજરાતનો પ્રવાસ ખેડી ભાવનગર, અમદાવાદ અને ભરૂચમાં સભાઓ યોજી પ્રચાર કર્યો હતો. મુંબઈમાં જમનાદાસ દ્વારકાદાસ, કનૈયાલાલ મુનશી, ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યા, શંકરલાલ બૅંકર, મનસુખરામ માસ્તર, રતનજી શેઠ વગેરે ગુજરાતીઓ હોમરૂલ લીગના અગ્રણીઓ હતા. આ ચળવળ દરમિયાન ગુજરાતના લોકોમાં રાજકીય જાગૃતિ આવી.
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૫માં ભારત આવ્યા અને ૧૯૧૫ના મેની 25મીએ અમદાવાદમાં કોચરબમાં બૅરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી. વીરમગામ જંક્શને જકાત વગેરેની તપાસમાં મુસાફરોને ત્રાસ વેઠવો પડતો. ગાંધીજીએ તે અંગે સરકારને લખ્યું. વાઇસરૉય ચેમ્સફર્ડને વીરમગામની જકાતબારીની પ્રજાની હાડમારી અંગે વાત કરી. સરકારે એ જકાત રદ કરી.
આ દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું. અમદાવાદના મિલમાલિકોને ઘણો નફો થતો હતો. વિશ્વયુદ્ધને કારણે મોંઘવારી વધી હતી. તેથી મિલમજૂરોએ ૩૫ ટકા પગારવધારાની માગણી કરી. મિલમાલિકોએ મજૂરોની માગણી નહિ સ્વીકારતાં ગાંધીજીએ તેમને પંચ નીમવા વીનવ્યા. માલિકોએ તેનો અસ્વીકાર કરતાં ગાંધીજીએ મજૂરોને હડતાળ પાડવાની સલાહ આપી. હડતાળિયા મજૂરોની સભા રોજ ભરાતી. તેમાં ગાંધીજી મજૂરોને તેમણે લીધેલી પ્રતિજ્ઞાનું સ્મરણ કરાવી, શાંતિ જાળવવાની તથા સ્વમાન સાચવવાની આવશ્યકતા સમજાવતા. એકવીસ દિવસ ચાલેલી આ હડતાળ દરમિયાન મજૂરો ડગવા લાગ્યા; તેથી ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા. છેવટે આનંદશંકર ધ્રુવ પંચ તરીકે નિમાયા અને હડતાળ છૂટી. ગાંધીજીને ત્રણ જ ઉપવાસ કરવા પડ્યા. પંચના ચુકાદા મુજબ મજૂરોને ૩૫ ટકાનો પગારવધારો મળ્યો. હડતાળ દરમિયાન શહેરમાં શાંતિ જળવાઈ રહી. આ ‘ધર્મયુદ્ધ’માંથી મજૂરો અને માલિકોએ પંચ દ્વારા ઝઘડાનો નિકાલ કરવાની પ્રેરણા મેળવી અને ૧૯૨૦માં અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના થઈ.
૧૯૧૭માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જવા છતાં અધિકારીઓએ ખેડૂતોનું મહેસૂલ માફ કર્યું નહિ. છ આની પાક થાય તો અર્ધું મહેસૂલ અને ચાર આની પાક થાય તો પૂરું મહેસૂલ મુલતવી રાખવાનો નિયમ હતો. તે વરસે ૬૦૦ ગામોમાંથી એક જ ગામનું આખું અને ૧૦૪ ગામોનું અર્ધું મહેસૂલ અધિકારીઓએ મુલતવી રાખ્યું. કઠલાલના મોહનલાલ કામેશ્ર્વર પંડ્યા અને શંકરલાલ દ્વા. પરીખે બાવીસ હજાર ખેડૂતોની સહીઓવાળી અરજીઓ મુંબઈ સરકારને મોકલીને મહેસૂલ મુલતવી રાખવા જણાવ્યું. તેમણે અનેક ઠરાવો પસાર કરી અધિકારીઓને મોકલી આપ્યા. વિઠ્ઠલભાઈ પટેલ અને ગોકળદાસ પારેખે વીસેક ગામોની તપાસ કરી, કલેક્ટર સમક્ષ રજૂઆત કરી પણ તેઓ નિષ્ફળ ગયા. ગુજરાત સભાના મંત્રીઓ કમિશનરને મળ્યા, પરંતુ તેણે સારો વર્તાવ ન દાખવ્યો. ગાંધીજી ચંપારણથી આવ્યા બાદ જિલ્લાના કાર્યકરો તેમને મળ્યા. ગાંધીજીએ કાર્યકરોને પાકની માહિતી લેવા મોકલ્યા. ગાંધીજીએ અને વલ્લભભાઈએ પણ ત્રીસ-ત્રીસ ગામોની તપાસ કરી. આમ ૪૨૫ ગામોની તપાસના હેવાલો પરથી ગાંધીજીએ કલેક્ટરને પત્ર લખી જે ગામોમાં ચાર આનીથી ઓછો પાક હોય ત્યાં મહેસૂલ મુલતવી રાખવા માગણી કરી. પરંતુ અમલદારો જીદે ચડ્યા હોવાથી લડત શરૂ કરવી પડી. નડિયાદમાં ખેડૂતોની સભામાં ગાંધીજીએ સત્યાગ્રહની અનિવાર્યતા, તે માટે લેવાની પ્રતિજ્ઞા, જાનમાલનું જોખમ, જેલમાં જવાની તૈયારી વગેરે બાબતો સમજાવી. ગાંધીજી, વલ્લભભાઈ તથા જિલ્લાના કાર્યકરોએ ખેડૂતોનો જુસ્સો જાળવી રાખ્યો. સરકારની ધમકીઓ, જપ્તીઓ તથા જુલમ સામે ખેડૂતો અણનમ રહ્યા. શંકરલાલ પરીખની જમીનનું મહેસૂલ તેમના ખેડૂતે તેમને પૂછ્યા વિના ભરી દેવાથી એ જમીન શંકરલાલે સાર્વજનિક ઉપયોગ માટે આપી દીધી. માતર તાલુકાના નવાગામમાં ખાલસા કરેલાં ખેતરોમાંના એક ખેતરનો નોટિસમાં ઉલ્લેખ ન હતો. ગાંધીજીની સલાહ મુજબ તેમાંનો ડુંગળીનો પાક ઉતારી લેવા ગયેલ મોહનલાલ પંડ્યા અને ખેડૂતોની પોલીસે ધરપકડ કરી. તેમને જેલની સજા કરવામાં આવી. સજા પૂરી થયા બાદ લોકોએ તેમનું સન્માન કરી મોહનલાલ પંડ્યાને ‘ડુંગળીચોર’નો ખિતાબ આપ્યો. છેવટે સુખી ખેડૂતો મહેસૂલ ભરે તો ગરીબ ખેડૂતોનું મહેસૂલ મુલતવી રાખવાની શરતે સમાધાન થયું. આ લડતથી ખેડૂતોમાં જાગૃતિ અને નીડરતા આવ્યાં તથા લોકોને વલ્લભભાઈ જેવા મહાન નેતા મળ્યા.
પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ, હિંદ સંરક્ષણ ધારાની મુદત પૂરી થતી હોવાથી ક્રાંતિકારી ચળવળને દબાવી દેવા માટેની સત્તા હાથ ધરવા સરકારે ૧૯૧૯માં રૉલેટ કાયદા પસાર કર્યા. આ ‘કાળા કાયદા’ વિરુદ્ધ લોકમત કેળવીને ગાંધીજીએ ૩૦ માર્ચના રોજ પ્રાર્થના, ઉપવાસ અને હડતાળ પાડવાનો લોકોને અનુરોધ કર્યો. પાછળથી તે તારીખ બદલીને ૬ એપ્રિલ નક્કી કરવામાં આવી. ગુજરાતમાં ૬ એપ્રિલના દિવસે અમદાવાદ અને નડિયાદમાં હડતાળ પડી. અમદાવાદ, સૂરત, અમલસાડ તથા નડિયાદમાં સરઘસો કાઢીને સભાઓમાં રૉલેટ કાયદાનો વિરોધ કરતાં ભાષણો તથા ઠરાવો કરવામાં આવ્યાં. ૧૦ એપ્રિલના રોજ ગાંધીજીની ધરપકડના સમાચાર અને અનસૂયાબહેન સારાભાઈની ધરપકડની અફવા અમદાવાદમાં ફેલાવાથી મિલમજૂરોએ હડતાળ પાડીને દુકાનો બંધ કરાવી. બીજે દિવસે લોકોનાં ટોળાંએ સરકારી અને મ્યુનિસિપાલિટીનાં મકાનોનો નાશ કર્યો. એક યુરોપિયન સાર્જન્ટને મારી નાખ્યો. શહેરમાં લશ્કર બોલાવવા છતાં આગના બનાવો ચાલુ રહ્યા. ગોળીબારથી ૨૮ માણસો મરણ પામ્યા અને ૧૨૩થી વધારે ઘવાયા. વીરમગામમાં લોકોનાં ટોળાંએ સરકારી મકાનોને આગ લગાડી. પોલીસના ગોળીબારમાં છ માણસો માર્યા જવાથી ગોળીબારનો હુકમ આપનાર હિંદી અધિકારીને સળગાવી દીધો. લોકોએ રેલવેનાં વૅગનો અને સરકારી તિજોરીમાં લૂંટ કરી. મુંબઈથી ગોરા લશ્કરની ટ્રેનને અમદાવાદ જતી અટકાવવા નડિયાદના યુવાનોએ રેલના પાટા ઉખાડી નાખ્યા. આણંદમાં ૧૩ એપ્રિલે લોકોએ હડતાળ પાડી, અંગ્રેજ સ્ટેશન માસ્તર તથા વેન્ડરનાં મકાનો બાળી નાખ્યાં. ગાંધીજીએ અમદાવાદ આવી, હિંસાના પ્રાયશ્ચિત્તરૂપે ત્રણ દિવસના ઉપવાસ કરી, શાંતિ સ્થાપી. અમદાવાદમાં ૨૧૭ માણસો ઉપર કેસ કરીને ૧૦૬ જણને સજા કરવામાં આવી. વીરમગામમાં ૫૦ માણસો ઉપર કેસ કરીને ૨૭ જણને સજા કરવામાં આવી. ગાંધીજી નડિયાદ ગયા. ત્યાં તેમને લાગ્યું કે લોકોને કાયદાનો સવિનયભંગ કરવા નોતરવામાં ઉતાવળ કરી તે ‘હિમાલય જેવડી ભૂલ’ હતી. સરકારે મિ. હંટરના અધ્યક્ષપદે ડિસઑર્ડર ઇન્ક્વાયરી કમિટી નીમીને તોફાનોની તપાસ કરાવી.
૧૯૧૯માં ગાંધીજીએ ‘નવજીવન’ તથા ‘યંગ ઇન્ડિયા’ સાપ્તાહિકો પ્રગટ કરીને પ્રજાને સત્યાગ્રહની તાલીમ આપવા માંડી.
ખિલાફત, પંજાબના અત્યાચારો અને અધૂરા મૉન્ટફર્ડ સુધારાને કારણે અસહકારના આંદોલનનો ૧ ઑગસ્ટ, ૧૯૨૦થી આરંભ કરવામાં આવ્યો. ૧૯૨૦ના સપ્ટેમ્બરમાં મળેલી કૉંગ્રેસની બેઠકમાં અસહકારનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. તેમાં સરકારી ખિતાબો, સરકારી શિક્ષણ, સરકારી નોકરીઓ તથા વકીલો દ્વારા અદાલતોનો ત્યાગ, ધારાસભાઓ અને વિદેશી માલનો બહિષ્કાર તથા દારૂબંધી અને અસ્પૃશ્યતાનિવારણ સાથે ખાદી અને રેંટિયાને અપનાવી સ્વદેશી માલ વાપરવાનો અનુરોધ કરવામાં આવ્યો. ગુજરાતમાં પણ આ કાર્યક્રમો ચાલતા હતા.
૧૮ ઑક્ટોબર, ૧૯૨૦ના રોજ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ સ્થાપવામાં આવી. અમદાવાદની મૉડેલ હાઈસ્કૂલ, પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ અને સિટી હાઈસ્કૂલ; આણંદની ડી. એન. હાઈસ્કૂલ, ભરૂચની યુનિયન હાઈસ્કૂલ, સૂરતની સિટી હાઈસ્કૂલ અને ગોધરાની ન્યૂ હાઈસ્કૂલે સરકાર સાથેનો સંબંધ તોડી નાખ્યો. વડોદરા, રાજકોટ, ભાવનગર, વઢવાણ અને ધ્રાંગધ્રા રાજ્યોમાં પણ સરકારી કેળવણીનો બહિષ્કાર થયો. અમદાવાદ, સૂરત અને વડોદરાની કૉલેજોના કેટલાક અધ્યાપકોએ રાજીનામાં આપ્યાં. ગુજરાત કૉલેજના ૩૫ વિદ્યાર્થીઓએ કૉલેજનો ત્યાગ કર્યો. સૂરતની હાઈસ્કૂલોના ૮૯૦ વિદ્યાર્થીઓએ હાઈસ્કૂલો છોડી.
અમદાવાદમાં વલ્લભભાઈ પટેલ, કૃષ્ણલાલ દેસાઈ, ગ. વા. માવળંકર, કાલિદાસ ઝવેરી સહિત નડિયાદ, ગોધરા, સૂરત અને મોડાસાના વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો. ગાંધીજીએ ‘કૈસરે હિંદ’નો સુવર્ણપદક વાઇસરૉયને પરત કર્યો. ખેડા, સૂરત અને પંચમહાલ જિલ્લાના અનેક તલાટીઓએ રાજીનામાં આપ્યાં. વિદેશી કાપડની દુકાનો પર સ્વયંસેવિકાઓએ પિકેટિંગ કર્યું અને વિદેશી કાપડની હોળી કરવામાં આવી. 1921માં ગાંધીજીએ ‘એક વર્ષમાં સ્વરાજ’નો નાદ દેશભરમાં ફેલાવ્યો. ડિસેમ્બર, ૧૯૨૧માં અમદાવાદમાં ભરાનાર કૉંગ્રેસના અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ વલ્લભભાઈ પટેલ હતા. તેમાં સવિનય કાનૂનભંગનો ઠરાવ કરવામાં આવ્યો. અને બારડોલી તાલુકામાં નાકરની લડત શરૂ કરવાનું ઠરાવ્યું. આ દરમિયાન ઢસાના દરબાર ગોપાળદાસ અંબાઈદાસ દેસાઈએ ગાદીત્યાગ કરીને દેશભક્તિનું અનુપમ ઉદાહરણ પૂરું પાડ્યું. સૂરત જિલ્લાના નેતાઓ દયાળજીભાઈ, કલ્યાણજી મહેતા તથા પરાગજીભાઈએ અને ભરૂચના ડૉ. ચંદુલાલ દેસાઈ(છોટે સરદાર)એ પોતાની સમગ્ર મિલકત દેશને અર્પણ કરી. ખાદીના પ્રચારમાં સ્ત્રીઓ, જ્ઞાતિપંચો, સાધુસંતો અને ધર્મગુરુઓએ ભાગ લીધો. દારૂનિષેધ માટે સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પિકેટિંગ કર્યું. તેમાં સમાજના બધા વર્ગોએ સહકાર આપ્યો. અમદાવાદ, નડિયાદ, સૂરત, જંબુસર અને બોરસદની મ્યુનિસિપાલિટીઓએ રાષ્ટ્રીય શિક્ષણના ઠરાવો કર્યા. હિંદુ-મુસ્લિમ એકતા અને અસ્પૃશ્યતાનિવારણના ક્ષેત્રે ગુજરાતમાં નોંધપાત્ર પ્રગતિ સધાઈ. ટિળક સ્વરાજ ફાળામાં દેશી રાજ્યો સહિતના ગુજરાતે રૂ. ૧૫ લાખનો ફાળો આપ્યો; પરંતુ મુંબઈ અને ચૌરીચૌરામાં થયેલી હિંસાના કારણે આ ચળવળ બંધ કરવામાં આવી.
૧૩ એપ્રિલ, ૧૯૨૩ના રોજ નાગપુરમાં સિવિલ લાઇન્સમાં ધ્વજ સહિતના સરઘસને પ્રવેશવા ન દેતાં, શરૂ થયેલા ઝંડા સત્યાગ્રહની આગેવાની વલ્લભભાઈ પટેલે લીધી. તેમાં મોહનલાલ પંડ્યા, પરીક્ષિતલાલ મજમુદાર, સૂરતના ડૉ. ઘિયા, ભરૂચના ડૉ. ચંદુલાલ દેસાઈની આગેવાની હેઠળ ગુજરાતના સત્યાગ્રહીઓની ટુકડીઓએ ધરપકડ વહોરી જેલવાસ વેઠ્યો.
બોરસદ તાલુકામાં બહારવટિયાઓને પકડવામાં નિષ્ફળ ગયેલી સરકારે ત્યાં મૂકેલી વધારાની પોલીસનો ખર્ચ વસૂલ કરવા લોકો ઉપર નાખેલા રૂ. ૨,૪૦,૦૭૪ના વધારાના કર સામે લડત આપવા દરબાર ગોપાળદાસના પ્રમુખપદે સંગ્રામ સમિતિ રચાઈ. લોકોએ અન્યાયી કર નહિ ભરવાની પ્રતિજ્ઞા કરી અને એ માટે મોહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ તથા વલ્લભભાઈ પટેલે લોકોને અણનમ રાખ્યા. અમલદારોએ જપ્તીઓ દરમિયાન દમન કર્યું. છેવટે મુંબઈ ઇલાકાના ગૃહમંત્રીની ભલામણ મુજબ વધારાનો કર પાછો આપવાનું નિવેદન કરવામાં આવતાં, બોરસદ સત્યાગ્રહમાં પ્રજાનો વિજય થયો.
૧૯૨૮માં બારડોલી તાલુકામાં સરકારે મહેસૂલમાં ૨૫ ટકાનો વધારો કર્યો અને ૨૩ ગામોને ઉપલા વર્ગમાં ચડાવ્યાં. એટલે આખા તાલુકાનું મહેસૂલ ૩૦ ટકા વધી ગયું. તાલુકાના આગેવાનો કલ્યાણજી મહેતા અને કુંવરજીભાઈની વિનંતીથી વલ્લભભાઈ પટેલે સત્યાગ્રહની સરદારી સંભાળી. તેમની સૂચના મુજબ ડૉ. ચંદુલાલ દેસાઈ, રવિશંકર મહારાજ, મોહનલાલ પંડ્યા, ફૂલચંદ શાહ, બળવંતરાય મહેતા, ડૉ. ઘિયા, ડૉ. સુમન્ત મહેતા અને તેમનાં પત્ની શારદાબહેને આવીને જુદી જુદી છાવણીઓ સંભાળી લીધી. અબ્બાસ તૈયબજી અને ઇમામસાહેબે તાલુકાના મુસલમાનોને માર્ગદર્શન આપ્યું. વલ્લભભાઈએ તેમનાં જુસ્સાદાર ભાષણો દ્વારા લોકોમાં શૂરાતન સીંચ્યું. જમીનો ખાલસા અને મિલકતો જપ્ત થવા છતાં ખેડૂતોએ ખમીર જાળવી રાખ્યું. સમસ્ત દેશમાં લોકોએ ‘બારડોલી દિન’ ઊજવીને બારડોલી તાલુકાના ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. ગવર્નરની કાઉન્સિલના સભ્ય સર ચૂનીલાલ મહેતાના પ્રયાસોથી જપ્ત થયેલી જમીનો પાછી આપવી, સત્યાગ્રહી કેદીઓને મુક્ત કરવા, બરતરફ તલાટીઓને નોકરીમાં લેવા તથા તપાસ સમિતિ નિમાય તે પછી મહેસૂલ ભરવું એ રીતે સમાધાન થયું. ખેડૂતોનો જ્વલંત વિજય થયો. આ લડતમાં સફળ નેતૃત્વ કરવા બદલ વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નો ખિતાબ લોકો તરફથી મળ્યો. તપાસ સમિતિએ સૂચવેલ મહેસૂલથી ખેડૂતોને લાભ થયો.
૧૨ ઑક્ટોબર, ૧૯૨૮ના રોજ સાઇમન કમિશન બીજી વાર મુંબઈ આવ્યું ત્યારે અમદાવાદની ગુજરાત કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિથી પ્રેરાઈને હડતાળ પાડીને સત્રાંત પરીક્ષા ન આપી. કૉલેજના આચાર્ય શીરાઝે તેમની સામે વેરવૃત્તિ રાખી તેથી રોહિત મહેતા(પાછળથી જાણીતા થિયૉસૉફિસ્ટ)ની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ 39 દિવસની હડતાળ પાડી. સરદાર પટેલ, આચાર્ય કૃપાલાની, ગ. વા. માવળંકર, ડૉ. હરિપ્રસાદ દેસાઈ તથા ડૉ. કાનૂગોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. ગાંધીજીએ વિદ્યાર્થીઓની હડતાળને ન્યાયી ગણાવી, ૩૦ જાન્યુઆરી, ૧૯૨૯ના રોજ દેશનાં અનેક શહેરોની કૉલેજોએ હડતાળ પાડીને ‘અખિલ ભારત ગુજરાત કૉલેજ દિન’ ઊજવી શીરાઝના પગલાને ધિક્કાર્યું. ગવર્નર-જનરલ લૉર્ડ અર્વિનની સૂચનાથી વિદ્યાર્થીઓની માગણીઓ સ્વીકારાવાથી હડતાળનો અંત આવ્યો.
1929માં લાહોરમાં મળેલા કૉંગ્રેસના અધિવેશને સંપૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ કર્યો. તે મુજબ ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦નો દિવસ દેશમાં સૌપ્રથમ વાર સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવાયો. ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ ગાંધીજીએ પોતાના ૭૮ સાથીઓ સહિત સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી. દરરોજ સાંજે જુદા જુદા ગામે ભરાતી સભામાં ગાંધીજી દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ અને ખાદીના પ્રચાર સાથે સરકારી નોકરીનો ત્યાગ કરવાનો બોધ આપતા. ૬ એપ્રિલે દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ મીઠાનો કાયદો તોડ્યો. તે પછી સમગ્ર દેશમાં સવિનય કાનૂનભંગ શરૂ થયો. ૫ મેના રોજ ગાંધીજીની ધરપકડ થઈ. સૂરત જિલ્લાના ધરાસણામાં ઇમામસાહેબના નેતૃત્વ હેઠળ મીઠાના અગરો પર ધાડ પાડવા ગયેલા સત્યાગ્રહીઓ ઉપર નિર્દયતાથી લાઠીમાર કરવામાં આવ્યો તેની દેશવિદેશનાં વર્તમાનપત્રોએ નોંધ લીધી. બારડોલી અને બોરસદ તાલુકામાં નાકરની લડત ચાલી. બારડોલી તાલુકાનાં ચાર હજાર ખેડૂત કુટુંબોએ પાંચ મહિના સુધી હિજરત કરી. ચરોતરના રાસ ગામના ખેડૂતોએ મહેસૂલ ન ભર્યું અને હિજરત કરી નાકરની લડતને સફળ બનાવી. ધોલેરા અને વીરમગામ પણ મીઠાના કાયદાભંગનાં કેન્દ્રો બન્યાં. ગાંધી-અર્વિન કરાર (માર્ચ, ૧૯૩૧) બાદ લંડનમાં બીજી ગોળમેજી પરિષદમાંથી ગાંધીજી પાછા ફર્યા બાદ ૧૯૩૨માં કૉંગ્રેસના નેતાઓની ધરપકડ થતાં લોકોએ બમણા વેગથી લડત આરંભી. ગુજરાતમાંથી હજારો સત્યાગ્રહીઓ જેલમાં ગયા. લોકોએ ચળવળ ચાલુ રાખી અને સરકારના દમનનો ભોગ બન્યા. ઑગસ્ટ, ૧૯૩૨માં કોમી ચુકાદો જાહેર થતાં ગાંધીજીએ તેના વિરોધમાં ઉપવાસ કર્યા અને હરિજનોને હિંદુઓથી અલગ ગણાતા અટકાવ્યા, તે પછી દેશભરમાં અછૂતોદ્ધારની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી.

રાષ્ટ્રપિતા ગાંધીજીએ જેમાં રહીને તેમના કારાવાસના દિવસો વિતાવ્યા હતા તે સાબરમતી જેલ(અમદાવાદ)ની કોટડી ૧૮૩૮ – ૩૯નાં વર્ષો દરમિયાન ગુજરાતનાં દેશી રાજ્યોમાં પ્રજામંડળો સ્થપાયાં. ઉત્તર ગુજરાતના માણસા રાજ્યમાં દરબારે ખેડૂતોના જમીન પરના હક નાબૂદ કરી જુલમ કર્યો. તેથી ખેડૂતોએ જાન્યુઆરી, ૧૯૩૮થી મહેસૂલ ભરવાનું બંધ કરી સત્યાગ્રહ શરૂ કર્યો. લોકોએ દરબારનો બહિષ્કાર કર્યો. છેવટે સરદાર પટેલે માણસાના દીવાન સાથે બંને પક્ષને ન્યાય થાય એવું સમાધાન કર્યું. રાજકોટના રાજા ધર્મેન્દ્રસિંહના અમલ દરમિયાન દીવાન વીરાવાળાએ અનેક કરવેરા લાદ્યા, ઇજારા આપ્યા તથા જુલમ કર્યો. ઉછરંગરાય ઢેબરે તે સામે લોકોને જાગ્રત કરતાં તેમને જેલમાં પૂરવામાં આવ્યા. રાજ્યની મિલના કામદારોએ 14 કલાક લેવાતા કામ વિરુદ્ધ લડત આપી વિજય મેળવવાથી લોકોનો ઉત્સાહ વધ્યો. સરદાર પટેલની દોરવણી મુજબ લોકોએ જુલમ સામે લડત ચાલુ રાખી. સરદાર સાથે થયેલા સમાધાનનો વીરાવાળાએ ભંગ કરતાં ગાંધીજીએ તે સામે 3 માર્ચ, ૧૯૩૯થી ઉપવાસ કર્યા. છેવટે સમાધાન થયા બાદ વીરાવાળાએ એને નિષ્ફળ કરવાના પ્રયાસો કર્યા. પરંતુ પ્રજાનું ઘડતર થયું અને જાગૃતિ આવી એ મોટો લાભ થયો. લીંબડીમાં 24 ડિસેમ્બર, ૧૯૩૮ના રોજ રસિકલાલ પરીખે પ્રજામંડળની સ્થાપના કરી. ત્યાંના દરબારે પ્રજામંડળના કાર્યકરો સામે જુલમ કરીને ભયનું વાતાવરણ ફેલાવ્યું. એનાથી ત્રાસીને 13,000 માણસોએ હિજરત કરી. તે દરમિયાન વૃદ્ધ રાજાનું અને યુવરાજનું અવસાન થતાં અંગ્રેજ વહીવટદાર નિકલસન સાથે સમાધાન કરી, લડત બંધ કરવામાં આવી. આ દરમિયાન વડોદરા રાજ્યમાં પ્રજામંડળ દ્વારા 1940માં જવાબદાર પ્રધાનમંડળ રચવામાં આવ્યું. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ રાજકીય પરિષદ સ્થપાયા બાદ ખાખરેચી, મોરબી, ધ્રાંગધ્રા, વણોદ, જામનગર, પાલિતાણા, વળા તથા રાજકોટ મુકામે સત્યાગ્રહ થવાથી લોકોમાં નવીન ચેતનાનો સંચાર થયો.
ભારતના લોકોની સંમતિ વિના ભારતને બીજા વિશ્વયુદ્ધમાં જોડાયેલ દેશ તરીકે જાહેર કરવાના સરકારના પગલા વિરુદ્ધ પ્રાંતોમાંથી કાગ્રેસી પ્રધાનમંડળોએ નવેમ્બર, 1૧૯૩૯માં રાજીનામાં આપ્યાં. રામગઢ કૉંગ્રેસના ઠરાવ મુજબ યુદ્ધના વિરોધનો પ્રચાર કરવા વ્યક્તિગત સત્યાગ્રહ કરવા માટે ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેને પસંદ કર્યા. વિનોબાએ ૧૭ ઑક્ટોબર, ૧૯૪૦ના રોજ પવનાર ગામે યુદ્ધવિરોધી પ્રવચન કરી સત્યાગ્રહનો આરંભ કર્યો. ગુજરાતમાં સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ભરૂચના ડૉ. ચંદુલાલ દેસાઈ તથા સૂરતના કનૈયાલાલ દેસાઈની તેઓ સત્યાગ્રહ કરે તે પહેલાં ધરપકડ કરવામાં આવી. 3 માર્ચ, ૧૯૪૧ સુધીમાં ૨૯૬ સત્યાગ્રહીઓની ધરપકડ થઈ અને રૂ. ૬,૧૫૦નો દંડ કરવામાં આવ્યો. આ લડત દરમિયાન નેતાઓની ધરપકડના વિરોધમાં લોકોએ હડતાળો પાડી. શાળા-કૉલેજો, બજારો, મિલો વગેરે બંધ રાખ્યાં તથા ધરપકડોનો વિરોધ કરવા જાહેર સભાઓમાં મોટી સંખ્યામાં હાજરી આપી.
મુંબઈમાં મળેલી કૉંગ્રેસની મહાસમિતિની બેઠકમાં ૧૯૪૨ની ૮મી ઑગસ્ટે ‘હિંદ છોડો’નો ઐતિહાસિક ઠરાવ કરવામાં આવ્યો. ૯ ઑગસ્ટની વહેલી સવારે મુંબઈમાં દેશનેતાઓ સહિત અમદાવાદમાં ગ. વા. માવળંકર, ભોગીલાલ લાલા, અર્જુન લાલા સહિત ૧૭; સૂરતમાં ચંપકલાલ ઘિયા, છોટુભાઈ મારફતિયા સહિત ૪૦; વડોદરામાં છોટુભાઈ સુતરિયા, પ્રાણલાલ મુનશી સહિત ૨૧ તથા પંચમહાલ, ભરૂચ, ખેડા જિલ્લા અને સૌરાષ્ટ્રમાંથી વામનરાવ મુકાદમ, માણેકલાલ ગાંધી, દિનકરરાય દેસાઈ, બળવંતરાય મહેતા, ઉછરંગરાય ઢેબર વગેરે કૉંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી. ગુજરાતમાં પ્રાંતિક, જિલ્લા અને તાલુકા કૉંગ્રેસ સમિતિઓ ગેરકાયદે જાહેર કરવામાં આવી.
9 ઑગસ્ટથી અમદાવાદની મિલો, બજારો, શાળાઓ તથા કૉલેજોમાં હડતાળો પડી. અમદાવાદનાં બધાં બજારો તથા અમદાવાદ અને સૂરતની કાપડની મિલોમાં 105 દિવસની હડતાળ પડી, જે આખા દેશ માટે અદ્વિતીય ઘટના હતી. ગુજરાતનાં અનેક શહેરો તથા ગામોમાં હડતાળો પડી. ૯મીએ અમદાવાદમાં ખાડિયામાં થયેલા ગોળીબારમાં ઉમાકાંત કડિયા મરણ પામ્યો. લૉ કૉલેજથી નીકળેલું વિદ્યાર્થીઓનું સરઘસ ગુજરાત કૉલેજમાં પ્રવેશતાં વિનોદ કિનારીવાલા સામી છાતીએ, ગોળીબારથી શહીદ થયો. વિદ્યાર્થીઓ સભા-સરઘસોમાં જોડાતા, તાર-ટેલિફોનનાં દોરડાં કાપતા, પત્રિકાઓ વહેંચતા, રસ્તામાં અંતરાયો મૂકતા તથા પોલીસો ઉપર પથ્થરમારો કરતા. વડોદરાથી ૩૪ વિદ્યાર્થીઓ આણંદ પાસેનાં ગામોમાં લડતનો પ્રચાર કરીને પાછા ફરતા હતા ત્યારે, ૧૮ ઑગસ્ટની સાંજે અડાસ સ્ટેશન પાસે પોલીસે તેમના ઉપર ગોળીબાર કરવાથી, ત્રણ જણ તરત અને બે જણ પાછળથી મરણ પામ્યા અને કેટલાકને ગંભીર ઈજાઓ થઈ. અમદાવાદ, વડોદરા, સૂરત, ભાવનગર, મહેસાણા સહિત અનેક સ્થળે સરઘસોમાંથી અનેક માણસોની ધરપકડો કરવામાં આવી. ગુજરાતમાં અનેક સ્થળેથી પ્રગટ થતી ગુપ્ત પત્રિકાઓમાં ચળવળના સમાચાર તથા કાર્યક્રમ આપવામાં આવતો. ગાંધીજી ગુપ્ત પ્રવૃત્તિના વિરોધી હોવા છતાં અમદાવાદમાં બી. કે. મજમુદાર, જયંતી ઠાકોર, કાંતિલાલ ઘિયાએ; ભરૂચ જિલ્લામાં છોટુભાઈ પુરાણીએ તથા સૌરાષ્ટ્રમાં રતુભાઈ અદાણીએ ગુપ્ત સંગઠન સાધી, અચ્યુત પટવર્ધનનું માર્ગદર્શન મેળવી ભાંગફોડની પ્રવૃત્તિની યોજના ઘડી. અમદાવાદમાં ‘આઝાદ સરકાર’ની રચના કરી. ‘જયાનંદ’ નામથી જયંતી ઠાકોરને શહેરસૂબા બનાવવામાં આવ્યા. બી. કે. મજમુદાર શ્રીમંતો પાસેથી નાણાં મેળવી આપતા. ઉપરાંત ફાળો કરીને કે લૂંટ દ્વારા નાણાં મેળવી હથિયારો ખરીદવાં, બૉમ્બ બનાવવા તથા ગુપ્તવાસ સેવનારાના નિભાવાર્થે તેનો ઉપયોગ થતો.
અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ‘હિંદ છોડો’ ઠરાવને ટેકો આપ્યો, કચેરીઓ બંધ રાખી, સરકારના જુલમને વખોડી કાઢવાથી સરકારે સુધરાઈને બરતરફ કરી. કર્મચારીઓની હડતાળને કારણે કલેક્ટરે રાષ્ટ્રીય ધ્વજ ચડાવવાની પરવાનગી આપી, તે કર્મચારીઓનો જ્વલંત વિજય હતો. સરકારે સૂરત, વલસાડ, નડિયાદ અને ખેડાની સુધરાઈઓ તથા પંચમહાલ, સૂરત અને ખેડા જિલ્લા લોકલ બૉર્ડ તથા સ્કૂલ બૉર્ડનો વહીવટ સંભાળી લીધો.
કિશોરલાલ મશરૂવાળાએ ૨૩ ઑગસ્ટના ‘હરિજન’ના અંકમાં ભાંગફોડની પરવાનગી આપતું લખાણ પ્રગટ કર્યું. તેની લાખો પત્રિકાઓ સમગ્ર દેશમાં વહેંચવામાં આવી. તે મુજબ ગુજરાતમાં અનેક સ્થળે તાર-ટેલિફોનનાં દોરડાં કાપવામાં આવ્યાં. પોલીસ પાર્ટી, પોલીસવાન, પોલીસ ચોકીઓ, પોસ્ટ ઑફિસો અને હડતાળ ન પાડતી દુકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો. પોળોમાં ઘૂસીને મારતા પોલીસો પર ઍસિડ ભરેલા બલ્બ નાખી, તેમને પોળોમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા. અમદાવાદમાં સરકારી કચેરીઓ, પોલીસ ચોકીઓ, સુધરાઈની શાળાઓને લોકોએ આગ લગાડી. સૂરત જિલ્લાનાં અનેક ગામોના ચૉરા, જલાલપુર તાલુકાની ૧૯ પોસ્ટ ઑફિસો, ગોધરામાં શાળામંડળની કચેરી અને કેટલાંક ગામોના ચૉરાને આગ લગાડી દફતરો બાળવામાં આવ્યાં. ખેડા જિલ્લામાં પિજ ગામના વિઠ્ઠલભાઈ પટેલ સહિત યુવાનોએ ટપાલના થેલા લૂંટ્યા, તાર-ટેલિફોનનાં દોરડાં કાપ્યાં, રેલવેની ફિશ-પ્લેટો કાઢી કેટલાંક ગામોના ચૉરાઓને આગ લગાડી. નડિયાદમાં ચંપકલાલ શાહની આગેવાની હેઠળ યુવાનોએ આવકવેરા કચેરીનું દફતર બાળી નાખ્યું.
અમદાવાદમાં વિવિધ જૂથોએ બૉમ્બ બનાવી અરાજકતા ફેલાવવા પોલીસ ચોકીઓ, પોસ્ટ ઑફિસો તથા સરકારી કચેરીઓ પર બૉમ્બ નાખ્યા. શહેરસૂબાની સૂચનાથી ગોવિંદભાઈ શિણોલ સૌરાષ્ટ્રમાંથી દારૂગોળો, રિવૉલ્વરો અને કારતૂસો ખરીદી લાવ્યા. પોલીસ ચોકી ઉપર નાખવા લઈ જતાં બૉમ્બ ફૂટવાથી નારણભાઈ પટેલ અને નાનજી પટેલ મરણ પામ્યા. રાયપુર, પીપરડીની પોળમાં રાસાયણિક બૉમ્બ બનાવતાં ધડાકો થવાથી નંદલાલ જોશી અને નરહરિ રાવળ મરણ પામ્યા. જમાલપુરમાં રસાયણોનું મિશ્રણ કરતાં ધડાકો થવાથી પી. કે. ચૌધરી અને શાંતિલાલ પટેલને ગંભીર ઈજાઓ થઈ. મનહર રાવળ, રામપ્રસાદ શાહ, બાલમુકુન્દ આચાર્ય વગેરે યુવાનોએ મિલો ખૂલે નહિ તે માટે ૨૨ નવેમ્બર, ૧૯૪૨ની સાંજે પાંચ ઇલેક્ટ્રિક સબસ્ટેશનમાં ૧૬ બૉમ્બ મૂક્યા. તેના ધડાકાથી અમદાવાદમાં અંધકાર થયો. પરંતુ એક જ કલાકમાં વીજળી ચાલુ થતાં યોજના નિષ્ફળ ગઈ. મામુનાયકની પોળમાં રાસાયણિક બૉમ્બ બનાવતાં ગોવિંદલાલ પટેલ અને બાબુલાલ શંકરલાલને ઈજાઓ થઈ.
સૂરત જિલ્લામાં બૉમ્બ ફૂટવાના 34 અને આગના ૫૧ બનાવો બન્યા. જલાલપુર તાલુકામાં ૩૦ ગામોના તલાટીઓનાં અને ૪૦ ગામોની શાળાઓનાં દફતરો બાળી નાખવામાં આવ્યાં. ચીખલી, વડોદરા, મહેસાણા, સિદ્ધપુર, શિનોર તથા પંચમહાલ જિલ્લામાં મોરખલા, ઝાલોદ, વેજલપુર, અંબાલી અને હાલોલમાં બૉમ્બ ફૂટ્યા હતા. છોટુભાઈ પુરાણીએ પ્રકટ કરેલી ‘ગેરીલા વૉરફેર’ પુસ્તિકા મુજબ બૉમ્બ બનાવવામાં આવ્યા. ભરૂચ, નડિયાદ, ખેડા અને બોરસદમાં પણ બૉમ્બ ફૂટવાના બનાવો બન્યા. રાજકોટ, બોટાદ, જોરાવરનગર અને વાંકાનેરમાં બનાવેલા બૉમ્બના સૌરાષ્ટ્રમાં ધડાકા થયા હતા.
અમદાવાદમાં માદલપુર તથા કોચરબના ચૉરા તથા પંચમહાલ જિલ્લાનાં બોડીદરા, વાઘજીપુરા અને કુવાજર ગામોમાં લૂંટ કરવામાં આવી. હાલોલ તાલુકાના અંબાલી અને ભરૂચ જિલ્લાનાં વેડચ તથા સરભોણ પોલીસ સ્ટેશનો પર ચંદ્રશંકર ભટ્ટ, છોટુભાઈ પુરાણી, ગુણવંત પુરોહિત, જશવંત મહેતા વગેરેએ હુમલા કરી બંદૂકો, કારતૂસો વગેરેની લૂંટ કરી. ચંદ્રશંકર ભટ્ટ અને સાથીઓએ સૌરાષ્ટ્રમાં લખતર પાસે ટ્રેન અટકાવી સરકારી તિજોરીમાંથી એક લાખ રૂપિયાની લૂંટ કરી. ખેડા જિલ્લામાં યુવાનોએ ટપાલના થેલામાંથી નાણાં લૂંટ્યાં. આ બધાં નાણાંનો ઉપયોગ લડત માટે કરવામાં આવ્યો. કરાડી પાસે ગોંસાઈભાઈ પટેલે પોલીસની રાઇફલ ખૂંચવી લઈ કેદી ડાહ્યાભાઈ કેસરીને છોડાવ્યા. ઉત્તર ગુજરાતમાં સઈજ ગામમાં પોલીસ ગોળીબારથી ઉશ્કેરાયેલા લોકોએ ચૉરાને આગ લગાડી તથા ચૉરામાંથી નાસતા ચાર પોલીસો ને ફોજદારને મારી નાખ્યા. વડોદરા રાજ્યના ચોરંદા ગામે અંબાલાલ ગાંધીના નેતૃત્વ હેઠળ લોકોએ રેલના પાટા ઉખાડી નાખ્યા. બારડોલી તાલુકાના લોકોએ બારડોલીથી ગંગાધરા સુધીના રેલના પાટા ઉખાડી, પુલોની ભાંગફોડ કરી. ઉત્તર ગુજરાતમાં કલોલ પાસે તથા સૌરાષ્ટ્રમાં વઢવાણ પાસે રેલવેની ફિશ-પ્લેટો કાઢી નાખવાથી માલગાડીના ડબા ઊથલી પડ્યા. આ રીતે ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં ભાંગફોડની પ્રવૃત્તિઓ ચાલી હતી.
બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ કૅબિનેટ મિશન યોજના અનુસાર ૧૯૪૬માં વચગાળાની સરકાર રચવામાં આવી. લૉર્ડ માઉન્ટબૅટન ગવર્નર-જનરલ તરીકે આવ્યા, તેમની ૩ જૂન, ૧૯૪૭ની યોજના મુજબ દેશનું વિભાજન કરવાનું નક્કી થયું. ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારત અને પાકિસ્તાન, બે સ્વતંત્ર રાજ્યોનો ઉદભવ થયો.
1 નવેમ્બર, ૧૯૫૬ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના થતાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું. મહાગુજરાતની અલગ રચના ન થતાં ભાષાકીય પ્રાંતરચનાની ચળવળે જોર પકડ્યું અને ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની નીચે આ માટે લડત શરૂ થઈ. ૮મી ઑગસ્ટ, ૧૯૫૬ના રોજ અમદાવાદમાં કૉંગ્રેસ હાઉસ સામે દેખાવકારો પર પોલીસે ગોળીબાર કર્યા. તેમાં ચાર યુવાનો માર્યા ગયા અને એક સો જેટલા ઘવાયા. નડિયાદ, આણંદ, વડોદરા, મહેસાણા અને રાજકોટમાં હડતાળો પડી. થોડા દિવસોમાં ચળવળ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ. ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ સપ્ટેમ્બર, ૧૯૫૬માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી. હિંસક બનાવોના વિરોધમાં મોરારજી દેસાઈએ ઉપવાસ કર્યા. સમગ્ર ગુજરાતમાં વિવિધ વર્ગોના લોકોએ ચળવળને ટેકો આપ્યો. અમદાવાદમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સભા સામે ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભામાં લાખોની માનવમેદની ઊમટી પડી. છેવટે માર્ચ, ૧૯૬૦માં કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનનો ખરડો પસાર કર્યો અને 1 મે, ૧૯૬૦થી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ગુજરાતના અલગ રાજ્યની રચના કરવામાં આવી. ગાંધીનગર તેનું પાટનગર બન્યું.

પૂ. રવિશંકર મહારાજના આશીર્વચન સાથે તા. ૧ – ૫ ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યનો મંગળ પ્રારંભ થયો તે અવસરે અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે ઉપસ્થિત પૂ. દાદાની સાથે સર્વશ્રી મોરારજીભાઈ દેસાઈ, મહેદી નવાઝ જંગ, ડૉ. જીવરાજ મહેતા અને વિશાળ જનસમુદાય ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ સવારે ૮.૪૬ કલાકે આવેલ ધરતીકંપની પ્રથમ પ્રાકૃતિક આપત્તિ ૬.૯થી૭.૯નો રિક્ટર સ્કેલ ધરાવતી હતી. રાજ્યના વ્યાપક ભાગોમાં અસર કરનાર આ આપત્તિથી ભુજ, અંજાર, ભચાઉ અને ૬૦૦ ગામો લગભગ ધરાશાયી થયાં હતાં. કચ્છના નવ તાલુકાઓનાં લગભગ ૪૬૪ ગામડાંઓ અસરગ્રસ્ત થયાં અને તેથી માનવજીવન અને સંપત્તિને પારાવાર નુકસાન થયું. સૌરાષ્ટ્રના કેટલાક ભાગ જેવા કે મોરબી, સુરેન્દ્રનગર, વઢવાણ અને અન્ય ૭૦ ગામો ઘણે અંશે ધ્વસ્ત થયાં. એ જ રીતે ખેડા આસપાસના પંચમહાલ વિસ્તારનાં ૬૦ જેટલાં નાનાં-મોટાં ગામો અને નગરો સંપૂર્ણ નાશ પામ્યાં. અમદાવાદ શહેરમાં રહેણાકનાં જૂનાં અને નવાં ઘણાં બહુમાળી મકાનો જમીનદોસ્ત થયાં અને તેમાં વસવાટ કરતાં કુટુંબોમાં પારાવાર જાનહાનિ થઈ. રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ ધરતીકંપને કારણે ભારે નુકસાન અને જાનહાનિ થઈ હતી, જેમાં જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, પાટણ, ગોધરા, આણંદ, વડોદરા, ભરૂચ, સૂરત, બનાસકાંઠા અને સાબરકાંઠા વગેરેનો ઉલ્લેખ કરી શકાય. ભૂકંપના કારણે થયેલા મૃત્યુનો આંક લગભગ ૨૦,૦૦૦નો હતો.
૨૦૦૬ના ઑગસ્ટ માસ દરમિયાન અતિભારે વરસાદને કારણે નર્મદા બંધ, ઉકાઈ બંધ તથા ગુજરાત રાજ્યના અન્ય બંધો છલકાયા. આથી દક્ષિણ ગુજરાતમાં અને વિશેષે સૂરત શહેરમાં ભારે તબાહી સર્જાઈ. પૂર પછી તુરત વિવિધ શહેરોમાં રોગચાળો ફેલાયો જેમાં મુખ્યત્વે ચિકુનગુન્યા તાવના રોગે ગુજરાત રાજ્યને ભરડો લીધો. એમ ગુજરાત રાજ્ય અનેક આફતોમાંથી પસાર થઈ રહ્યું છે.
સંપાદકીય નોંધ:
૧. અહીં મૂકેલ તસવીર માત્ર સાંદર્ભિક પરિપ્રેક્ષ્ય માટે ઉમેરી છે.
૨. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘ઇતિહાસ – ગુજરાત’ વિષયમાંથી પસંદ કરેલ છે.
૩. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.
-
સૌદા – એક નારીની કથા
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ઘરની બહાર ઊભેલી કોઈ વ્યક્તિએ જોરથી બારણું ઠોક્યું. આ સમયે તો ચંદુ જ હોય. બારણું હજુ પૂરું ખૂલે એની રાહ જોયા વગર બહારથી ધસી આવેલી એક યુવતી અધખુલ્લા બારણાંને જોરથી ધકેલીને અંદર આવી. અને પાછળ ધડાક કરતું બારણું બંધ કરી દીધું. એટલી તો એ ભયભીત હતી કે કશું કહેવા એના હોઠ તો ખૂલ્યા પણ જરાય બોલી નહોતી શકતી.
ઘણે દૂરથી દોડીને આવેલી હાંફતી એ યુવતીનો આખો દેહ કાંપતો હતો. આ ચહેરો આડોશપાડોશ, સગાસંબંધીમાં કે પહેલાં ક્યાંય જોયો હોય એવું યાદ નહોતું આવતું. હજુ તો કંઈ પૂછું એ પહેલાં એણે મારા પગ પકડી લીધાં.
“બચાવી લો, રક્ષા કરો મારી મને. ગુંડા મારી પાછળ પડ્યા છે. ચહેરા પરનો તણાવ પરસેવાની બુંદ બનીને લમણાં પરથી ગાલ સુધી વહી આવ્યો હતો અને છતાં જરાય ઓછો નહોતો થયો.
‘મવાલી પાછળ પડ્યા હશે તો એને શોધતા અહીં સુધી આવી ચઢશે. નાનકડી ચાલીના બંધ બારણાંની પાછળ સૌ પોતપોતાનાં સુખદુઃખ સમેટીને ઊંઘતા હશે . ઘરમાં ચંદુ છે નહીં અને બાળકો સાથે હું એકલી. આ ઉપાધી ક્યાં મારે માથે આવી?’
એવો મારા મનનો વિચાર એના સુધી પહોંચ્યો હોય એમ એ આતંકિત થઈ ઊઠી. રખેને હું અને આશરો આપવાની ના પડીશ અને બહાર ઊભેલા ગીધ જેવા લોકો એને નોંચી લેશે એવા ભયથી એ કરગરી પડી.
“માંડ ઈજ્જત બચાવીને અહીં સુધી પહોંચી છું. મારા પ્રાણ તમારા હાથમાં છે. મારી મા સમાન છો. મને બચાવી લો. તમારો ઉપકાર જીવનભર નહીં ભૂલું.” રખેને બહાર અવાજ પહોંચે એના ડરથી ધીમા અસ્ફૂટ સ્વરે એ બબડી.
એક ડગ આગળ માંડુ કે પારોઠના પગલાં ભરું એ વિચારે ક્ષણાર્ધ હું અટકી. આવી કપરી ક્ષણોમાંય વિવેકબુદ્ધિ સાવ કુંઠિત નહોતી થઈ.
‘સંજોગો કે વખાની મારી છોકરી અહીં આવી છે. અસહાય છે પણ લાગે છે તો ભલી. રાતનો સમય છે. ચંદુ સિવાય બીજું કોઈ તો આવવાનું નથી. ચંદુને તો સમજાવી લેવાશે. એક રાતની તો વાત છે. અને સવારે ચંદુ જ એને પોતાના ઠેકાણે પહોંચાડી દેશે. મોડી રાતે આવેલો ચંદુ કદાચ ઊઠી ન શક્યો તો છોકરાંઓને સ્કૂલે મૂકીને હું જ એને મૂકી આવીશ. અત્યારે તો છોકરાઓની સાથે સૂઈ જાય એ જ ઠીક રહેશે.’
“ઊઠ, ઊભી થા અને આ સામેના રૂમમાં છોકરાંઓની સાથે સૂઈ જા.” કહીને પગે ચોંટેલી એ છોકરીને ઊભી કરી.
“નામ શું છે તારું?”
“ગેંદા” આંખ, કાન ને નાકમાંથી વહેતાં પાણીને હાથથી લૂછતાં, એના દબાયેલા સ્વરમાં જોમ આવ્યું હોય એમ જરા મોટા અવાજે એનાથી જવાબ અપાઈ ગયો.
“શ….શ… ધીમે. નામની જેમ ઠામઠેકાણું ય હશે ને? ઘરમાંથી ઝગડો કરીને નાસી આવી છું?”
“દીનાગંજ. જીલ્લો ગોરખપુર.”
“હેં, તું અહીંની નથી?”
ગેંદાએ અસ્વીકારમાં ડોકું ધૂણાંવ્યું.
“તો અહીં સુધી પહોંચી કેવી રીતે?” હવે મારો શ્વાસ અદ્ધર થવા માંડ્યો.
“દુકાળના લીધે ના વાવણી થઈ, ના લણણી. એમાં કામની શોધમાં જ્યાં પહોંચી ત્યાં માલની ડિલિવરી કરતા આદમીની મુલાકાત થઈ. એણે શહેરમાં કોઈ શેઠના ત્યાં નોકરી અપાવવાનો વાયદો કર્યો. રહેવું, ખાવું, પીવું અને ઉપરથી પાંચસો રૂપિયા મળશે એમ કીધું.”
‘હં..હવે સમજી. પગારની વાત કરીને નોકરો સાથે જાનવર જેવો વર્તાવ કર્યો હશે. સહન નહીં થયું હોય આનાથી.’ વિચાર આવતા હું બોલી,
“અહીં કામની કમી નથી. પણ બીજે કામ મળે પછી એ શેઠનું ઘર છોડવું’તું ને, આવી રાતે અડધી રાતે ભગાય?”
હવેની વાત કહેતાં જાણે પોતાની જાત પરથી કપડાં ઉતારીને જાતને ઉઘાડી કરવી પડતી હોય એવી પીડા સાથે એ બોલી.
“શેઠની નોકરીની વાત ફરેબ હતી. એ આદમીએ અહીં આવીને ચાર હજારમાં દલાલને વેચી મારી. લાલુએ ધંધો કરાવવા માટે મારવાનું પીટવાનું શરૂ કરી દીધું. હાથ-પગ જોડ્યાં. કેટલું કરગરી પણ એ ના માન્યો. આજે બારીમાંથી કૂદકો મારીને નાસી આવી.” ગેંદાના અવાજમાં નફરત હતી. છેતરાયાનો ભાવ હતો, એની આંખમાં લાલ ટશરો ઊઠી.
શું કહું? ગેંદાને આશ્વાસન આપવા મારી પાસે શબ્દો નહોતા. માંડ એને શાંત પાડી.
“જા, ચૂપચાપ સામે છોકરાંઓના રૂમમાં જતી રહે. સવારે મારો ધણી આવશે ત્યારે કોઈ રસ્તો શોધીશું.” કહી ગેંદાને છોકરાંઓના રૂમમાં ધકેલી. જેવી એ ત્યાં પહોંચી કે એણે ચીસ પાડી.
“હે ભગવાન. આને શાંત રહેવાનુ કહું છું ને આ ચીસો નાખે છે?” ગુસ્સાથી મારું મગજ ધમધમી ઊઠ્યું. અંદર જઈને જોયું તો ગેંદા રૂમમાં મૂકેલા ચંદુના ફોટા સામે આંગળી ચીંધીને પાંદડાની જેમ થરથર કાંપતી હતી.
“ આ….આ એ જ નીચ ડિલિવરી કરતો આદમી ચંદુ છે, જેણે મને ફોસલાવી. અહીં લઈ આવી લાલુને વેચી. આ નરાધમે કેટલીય છોકરીઓનું જીવન આવી રીતે બરબાદ કર્યું છે.” માંડ એ બોલી.
ફેણ ચઢાવીને જીભથી ઝેર ઓકતા નાગની જેમ એના હોઠેથી ક્રોધનો અગ્નિ ઝરતો હતો.
પહેલાં તો થયું કે ગેંદાનો ભ્રમ હશે પણ ચંદુંનું નામ અને કામ તો એણે બરાબર જ કહ્યાં. માલની ડિલિવરી કરવા ગોરખપુર તો એ જાય છે જ. હવે તો શકની કોઈ શક્યતા જ નહોતી.
‘હવે આ અભાગીને કેવી રીતે કહેવું કે જેણે એને નરકમાં ધકેલી એ ચંદુ જ આ ઘરનો, મારો ધણી છે? આ છોકરીને મારા ઘરમાં સંતાડવી એ જોખમ. બને કે એને શોધવા આવતા મવાલીઓની જોડે ચંદુ પણ હોય. અને ના હોય તો ય એના પાછા આવવાનો સમય થયો છે. આવતાની સાથે ગેંદાને જોશે તો શું વલે થશે? ગેંદાને છોકરાંઓ સાથે સૂવડાવવામાંય જોખમ. રાતે ગમે એટલો નશામાં હોય ચંદુ છોકરાઓને જોયા વગર સૂતો નથી.
‘નજીકની પોલીસચોકીમાં મૂકી આવું? પણ ગેંદાને લઈને બહાર નીકળવાનું જોખમ ના લેવાય. શિકારી કૂતરાં જેવા મવાલીઓ ગલીના નાકે પહોંચ્યા હશે તો? વળી પોલીસવાળાનો વિશ્વાસ કેમ રખાય?’
મારા ચહેરા પરની અવઢવ જોઈને ગેંદા સહેમી ગઈ હતી. ઝડપથી એક નિર્ણય કરીને હાથમાં તાળું ચાવી લઈ, ગેંદાને શાંતિથી બેસવાનું આશ્વાસન આપીને નીકળી.
‘પટવર્ધનતાઈ પાસે જવાનું ઠીક રહેશે. દલિત સ્ત્રી ઉદ્ધાર અને સેવા સમિતીમાં એ સક્રિય છે. પીડિત અને શોષિત સ્ત્રીઓને ઘણી મદદ કરે છે.
મનમાં કેટલા વિચારો ઘૂમરાતા હતા.
‘જ્યારે ચંદુ આવીને હાથમાં દસ હજારની થોકડી પકડાવતો કહેતો કે, આખા ગોદામની જવાબદારી એના માથે છે. ત્યારે સૂજ્યું નહીં કે એવો તો કેવો શેઠ એની પર ખુશ થઈ ગયો કે રાતવરત ગોદામની જવાબદારી સોંપી દીધી? આજ સુધી અચાનક આવેલા પૈસાથી ઝૂંપડીમાંથી ખોલી લીધી, છોકરાંઓની સ્કૂલની ફી ભરાતી ત્યારે આશંકા તો જાગતી પણ ચંદુની વાતોથી મનનો વહેમ નીકળી જતો.
‘હવે ખબર પડી કે કે એ કઈ ગોદામ કે મંડીની જવાબદારી લઈને ફરતો’તો? સ્ત્રીઓના વેપારના આ પૈસા હતા. છી! ચંદુનું આ સ્વરૂપ?
‘પટવર્ધનતાઈને કહીને ગેંદાને સુરક્ષિત જગ્યાએ રાખી શકાશે કે પછી એમના કહેવાથી પોલીસ એને રક્ષણમાં લેશે. અને તપાસ કરીને છોકરીઓને વિવશ કરીને ધંધો કરાવતા અડ્ડા પર છાપો મારશે. કમાઠીપુરા? હા ગેંદા એવું જ કોઈ નામ બોલી હતી. એની પર છાપો મારશે અને દલાલોની ભેગા ચંદુનેય પકડશે.
‘નજર સામે હાથકડીમાં જકડાયેલો, બેરહેમીથી પોલીસના ડંડા ખાતો ચંદુ દેખાયો. ચંદુ પર કેસ ચાલશે. એની નોકરી છૂટી જશે ને બે-ચાર વરસની સજા થશે. ગૃહસ્થીમાં આગ લાગશે, એની જ્વાળામાં છોકરાંઓ શેકાશે. આટલા વરસોના અભાવોથી માંડ છૂટકારો મળ્યો છે. બધું વેરવિખેર થઈ જશે. વળી વળીને એ જ મજૂરી. ઘર ઘરનાં કામ કરવા પડશે. ચંદુની હરકતોને લઈને કેટલાય વ્યંગબાણનો સામનો કરવો પડશે. નહીં ખમી શકાય. નાની નાની વસ્તુઓ માટે છોકરાંઓ ટળવળશે એ ખમી શકાશે? ના નહીં ખમી શકાય.
‘અને આમાં ચંદુનો એકલાનો ક્યાં વાંક છે? ગેંદાનોય વાંક તો ખરો ને? ગામમાં રહીને કામ શોધાવું જોઈએ ને? અરે ! પાણીથી પેટ ભરી લેવું’તુ પણ કોણે કહ્યું હતું કે આમ આવી અજાણી વ્યક્તિ પર ભરોસો મૂકવાનું કે એ કહે ત્યાં ચાલ્યા જવાનું?
‘કેટલી વીસે સો કરી છે? કેટલાં ઘરનાં કામ કરીને ઘર ચલાવ્યું છે? અરે ચંદુને ડ્રાયવરી શીખવવા ઉછીના પૈસા લીધા છે. ઘણાંએ કહ્યું’તું પ્રભુ શેઠની વાત માનીને મહિને ત્રણ હજારની નોકરી માટે દુબઈ જવાનું. પણ ના, પારકા દેશની મલાઈ કરતાં ગામનો સૂકો રોટલો વહાલો કર્યો છે.
‘અને ચંદુનો શો વાંક? ચામડાનો હોય કે ચામડીનો, ધંધો તો ધંધો છે. સાંભળ્યું છે, મોટી હોટલોમાં શેઠીયા પૈસા વેરીને ઉઘાડા ડાન્સ કરાવે છે. તો ય સમાજમાં કેટલી આબરુ છે એમની! મોટી ગાડીઓમાં ફરે છે. મઝાથી રહે છે. છે કોઈની હિંમત છે એમની પર આંગળી ઉઠાવવાની?
આખા રસ્તે વિચારોના વમળમાં ગોથા ખાતાં ખાતાં પટવર્ધનતાઈના ઘેર પહોંચી જવાયું. બસ, એક માળ ચઢીને ઉપર પહોંચી કે વાતનો ફેંસલો અને ચંદુ સીધો જેલમાં.
‘પણ એવું કેમ કરવું? ચંદુ ગમે તેવો હતો પણ પૈસા તો ઘર માટે લાવતો’તો ને? ઘરની અને છોકરાંઓની સુખસુવિધાનું ધ્યાન પણ રાખે છે ને?
‘આ તો સ્વયં ગૃહસ્થીમાં આગ લગાડવીની સદંતર મૂર્ખામી છે. એના કરતાં પાછા જઈને ખોલીની બંધ ચિનગારીને ખોલીમાં જ ઓલવી દેવાની. ચંદુના આવતાની સાથે ગેંદાને ચંદુના હવાલે કરી દેવાની. કરી લેશે હિસાબકિતાબ એ પોતે. ગેંદા શું સગી થાય છે કે એના માટે આટલી ચિંતા. એક અજાણી છોકરીના દુઃખને લઈને પરિણામ વિચાર્યા વગર આ શું કરવા બેઠી? દુનિયાભરના ઉદ્ધારનો ઠેકો લીધો છે?
‘કાલ ઊઠીને ગરીબી, ભૂખમરાને લઈને ત્રણે છોકરાંઓના શા હાલ થશે? અરે મોટી શીબ્બુને કોઈના કીધે ભોળવાઈને આવો કોઈ રસ્તો અપનાવો પડ્યો તો? એના ગેંદા જેવા હાલ નહીં થાય? પોલીસ ચંદુને પકડશે પણ પેલા અડ્ડાવાળાને ખબર પડી કે ચંદુને પકડાવવામાં કોનો હાથ છે તો એ લોકો કંઈ એમ ને એમ વાત પૂરી નહીં કરે. એક ગેંદાને બચાવવા ચંદુ, ત્રણે છોકરા સૌને હોમી દેવાના?
‘ઘેર પાછા વળવામાં જ સાર છે પણ, કયું ઘર, ગેંદાના બલિદાન પર સચવાયેલું ઘર? એને ઘર કહેવાશે, એ ઘર જેની પર કોઈના બલિદાનની આગની જ્વાળા ફૂંકાતી હશે, એ ઘરમાં શ્વાસ લઈ શકાશે? સ્ત્રી ઊઠીને સ્ત્રીના દુર્ભાગ્યનું નિમિત્ત બનીને જીવી શકાશે?
‘હજુ તો ઘેર પાછાં જવા પગ ઉપડે એ પહેલાં ત્યાં જાણે પગ પર કોઈની ભીંસ અનુભવાઈ. ગેંદાના હાથની જ પકડ હશે. વાંકા વળીને છોડાવવા કોશિશ કરી ત્યાં ગેંદા નહીં નાજુક શીબ્બુના હાથ હોય એમ કેમ લાગ્યું?
ગેંદાની જગ્યાએ શીબ્બુ? અને વળતી પળે પટવર્ધનતાઈના ઘરનાં પગથિયાં તરફ ઝડપથી પગલાં ઉપડ્યાં.
“પટવર્ધનતાઈ ઓ પટવર્ધનતાઈ…….”
અને બારણું ખૂલી ગયું.
ચિત્રા મુદ્ગલ લિખિત પતિ અને માનવતાના સિદ્ધાંતો વચ્ચે અટવાતી એક પત્નીની વ્યથા
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
હરખીમાસી
જયશ્રી વિનુ મરચંટ
મારી હરખીમાસીની વાત માંડવા બેસું તો મને એક જનમ પણ ઓછો પડે! આમ તો મારું મોસાળ સુરત પણ હરખીમાસી, એમના લગ્ન પછી માસાની પોસ્ટ ઓફિસની નોકરીને અને બાપદાદાની ખેતીવાડીને કારણે, સુરત પાસેના એક નાના કસબા, સુમેરપુરમાં રહેતાં હતાં. માસી જો મુંબઈ કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં રહેતા હોત તો નાટકના તખ્તાના ધુરંધરો અને દિગ્ગજ કલાકારોને પણ નાટકના સ્ટેજ પર શ્રેષ્ઠ અભિનેત્રીના ખિતાબ માટે તગડી હરિફાઈ આપત! મારી હરખીમાસી જેવી ડ્રામા ક્વીન મેં મારી આખી જિંદગીમાં નથી જોઈ! હું અમેરિકાથી ભારત આવવાની છું એનો ફોન મારી બાને ભલે હું ન કરું પણ માસીને ન કરું તો એની “શુદ્ધ દેશી સુરતી ગાળો” ખાવા માટે મારો આખો જનમ પણ ઓછો પડે! મેં ત્યારે માસીને મારા ભારત આવવાના ખબર આપવા જ્યારે ફોન કર્યો અને હરખીમાસીની ‘ફુલ ઓન’ નાટક કંપની શરૂ થઈ ગઈ. મને કહે, “લે..! આજે તને માહી યાદ આવી! આ મહિના પે’લા મને મલેરીયા થે’લો તીયારે તું રાં….ની કાં મરી ગેલી? તારી માહી તો મરવાની ઊતી, પણ વા’લા મૂઈ મારો જીવ તારામાં ભરાઈ’લો, તે ઉં ઉપરથી પાછી આવી! બાકી ઉં તો ઉપર જ પોંચી ગેલી ઉતી! તને તારી માઈએ કેઈલું ની ઓહે! એને તો રાં… ની ને પે’લેથી જ પેટમાં દુઃખે કે એની પોયરીને હું આટલી વા’લી કેમ! ઉં ગામમાં રે’મ પણ હમજું બધું જ!” આગળ મને બોલવાનો કોઈ મોકો મળે એ પહેલાં તો ગામમાં મલેરીયાનો રોગચાળો ફાટી નીકળ્યો એને માટે અમેરિકા કેવી રીતે જવાબદાર છે એ પોતાના જ મગજની પેદાશથી ઉપજાવી કાઢેલા ‘ફેક્ટસ એન્ડ ફીગર’ સાથે સમજાવી દીધું! હું માંડ હસવાનું ખાળીને એની સાથે વાતો કરતી. મને કલાકેકનો વખત ન હોય તો માસીને ફોન ન કરવો એટલું તો મને સમજાઈ ચૂક્યું હતું. હું અને મારા પતિ સાન ફ્રાન્સિસ્કોથી સાંજના, કારપુલ લેઈન મળે એટલા માટે સાથે જ ઘરે જતાં. અમને ઘરે પહોંચતાં સહેજે કલાક થઈ જતો. મહિને, બે મહિને, અમે આ સમયનો સદઉપયોગ કરીને, માસીને ફોન કરી લેતી. માત્ર એક જ તકલીફ એમા હતી કે હું કારના સ્પીકર સાથે મારા ફોનને બ્લુ ટુથ દ્વારા કનેક્ટ કરતી. માસીની લાંબી વાતો દરમિયાન, ફોન કાન પર મૂકીને સાંભળ્યા કરવાની મારામાં તાકાત નહોતી. આ સાથે એક ગેરફાયદો એ હતો કે મારી સાથે, મારા પતિને પણ આ વાતો સાંભળવાની ફરજ પડતી. પણ માસીની વાતો એટલી તો મજેદાર રહેતી કે રેડિયો પર જાણે સુરતી ગાળો સાથેનું પ્રહસન ચાલતું હોય!
માસા-માસીને કોઈ સંતાન ન હતું. હું ઈન્ડિયા જતી ત્યારે ગમે તેમ પણ સમય કાઢીને માસીને મળવા સુમેરપુર અવશ્ય જતી. મને જોઈને માસીનું મોઢું હસુ હસુ થઈ જતું. આમેય એના મુખ પર મેં કોઇ દિવસ દુઃખની છાયા પણ નહોતી જોઈ. મેં એક વખત એમને પુછ્યું પણ હતું, “માસી, તમારું નામ હરખી કેમ રાખ્યું? તમે કાયમ જ આમ હસતાં રહેશો એની નાના-નાનીને પહેલેથી જ ખબર હતી?” જવાબમાં માસી મને પાસે ખેંચીને, ગાલે એક બચી ભરીને કહેતા, “તું છે ને હાવ મારા જેવી હોં! મારી કૂખે ની જન્મી, એટલું જ! બાકી, તારી રોતલી માને જોઈ છે? તારા જેવી ઓહંતી પોરી (હસમુખી) એ રડિયલને પેટે કાં’થી જનમવાની?” માસી મને અનહદ વ્હાલ કરતાં પણ સુરતી ગાળોની ભરમારથી સુરતની ઘારીની મિઠાશને પણ ફિક્કી ફસ કરી દેતાં! હું એમને ક્યારેક કહેતી કે, “માસી, હવે તો ગાળો બોલવાનું બંધ કરો!” તો, માસીનો જવાબ હાજર જ હતો, “ તમારા જેવા ભણેલાઓનું એક જ દઃખ, ની’ પોતે ગાળો બોલે, ની’ બીજાને બોલવા દે! ઉં જો આમ ગેલસપ્પુ ની બોલું તો મને અપચો થાય. તને હો સલા’અ દેઉં, કે મનમાં હંતાપ થાય તો મારી જેમ, ખુલ્લા દિલથી દહ બાર ચોપડાવી દેવાની.. ! ને પછી જો આખો દા’ડો મજોમાં ની’ જાય તો પૈહા પાછા!” ક્યારેક જવાબમાં હું સુરતી બોલીમાં બોલી ઊઠતી, “તમને ની’ પૂગવાની!” તો, વળી એકાદ આવી જ ભારતની વિઝીટ સમયે, મેં એમને કહેલું, “માસા રિટાયર થઈ ગયા છે. હવે, તો, તમે અને માસા બેઉ મુંબઈમાં બા અને બાપુજીની સાથે અમારે ઘરે રહો. એ બેઉ પણ આખા ઘરમાં એકલા જ રહે છે. જો મુંબઈ ન ફાવતું હોય તો નરેશમામા પણ કહેતા હતા કે, મામાના ઘરની બાજુમાં નાનાબાપુનું બીજું ઘર હતું તે પણ સાવ ખાલી જ છે. મુંબઈ નહીં તો ત્યાં ગામમાં મામાની બાજુમાં રહો. કોઈ તો ફેમિલીનું નજીકમાં હોય તો સારું ને? સહુને ફિકર ઓછી થાય! મામા-મામીનેય તમારી બહુ ફિકર થાય છે, માસી.” માસીને નરેશમામા માટે ખૂબ જ વ્હાલ હતું પણ મામીનું નામ પડતાં જ મામીની સુરતી ગાળોનો ‘સપ્તકોટિ સંદૂક’ ખૂલી જતો અને પછી એને બંધ કરાવવા માટે મારે મારા જ સમ આપવા પડતાં અને ત્યાર પછી જ માસી નરમ પડતી. એ વખતે પણ આવું જ થયું હતું. મામીનું નામ શું મારાથી લેવાઈ જવાયું કે, માસી તો ઊછળી. “અવે રે’વા દે, રે’વા દે! મને હંધીય ખબર છે હોં, ઈ મરેલી, તારી દમિયલ મામીની…! એ દમિયલને… હાહુજીને ..એમ છે કે ઉ એની ઓહિયારી થેઈને એની પાહે રે’વા જામ..! મને તો પાક્કો વે’મ કે એ મને અને તારા ભગત જેવા માહાને કાંઈંક ખવડાવીને અમારું કાટલું જ કાઢી લાખહે..! પછી અમારી બધીય જમીન એની રાં….ની ને એના ભીખડા બાપની થેઈ જાય!” મારી બિચારી મામી! મારી હરખીમાસીનું હસતું મોઢું મામીના નામ સાથે ક્વીનાઈનની ગોળી પરાણે ખવડાવવામાં આવી હોય એવું થઈ જતું. મને ખ્યાલ આવી ગયો હતો કે આ બાબતમાં હું કઈં પણ કહું, માસીને ભરોસો આપી શકવાની નથી, અને, અંતે છેલ્લા ઉપાય તરીકે મેં મારા સમ આપ્યાં, “માસી એક પણ ગાળ બોલ્યા છો તો હું જતી રહીશ, મારા સમ…!” અને, હંમેશની જેમ આ ધમકી ત્યારે પણ કામ કરી ગઈ અને વાઘણ જેમ ગર્જના કરતી મારી હરખીમાસી ગભરૂ બિલાડી બની જતી પણ સાવ ચૂપ થતાં પહેલાં બે-ચાર ગાળો તો ચોપડાવતી જ. “તું હાના હારૂ હમ ખાય, અને એય તે ઓલી રાં..ની દમિયલ હારૂ? કરમ ફૂટેલી, એ એના જ કરમે મરહે…!” મારે ત્યારે રીસભર્યા અવાજે કહેવું જ પડ્યું હતું કે, “માસી, ગાળ બંધ નહીં કરો ને તો સાચે જ હું ચાલી જઈશ અને કદી તમને મળવા નહીં આવું!” માસી થોડા ઢીલા પડી ગયા અને કહે, “હારું, લે બૌ થીયું અવે. પાછું જો આવું કેહે તો કાન ખેંચી કાઢા, તીયારે તને તારી રડિયલ માઈ યાદ આવી જાહે. લે, ગાળો બંધ પણ હાચું કે’મ, તું પણ બે ચાર ચોપડાવ ને જો મન કેવું અલકું અલકું થેઈ જાય તે! આ તારી દમિયલ ને કાળમુખી મામીને મારું નામ લેઈને મને મારી લાખવાના જાપ જપવા દે! મારી પાહેં તો એ ગધેડીની કુથલી કરવાનો પણ ટે.મ ની મળે!” આ પાર્ટ ટુ (૨) હતો, ગાળો બોલવાનું બંધ કરતાં પહેલાં જેટલી ગાળો બોલી શકાય એટલી તો બોલી જ હતી…!
હરખીમાસીને મામી માટે અણગમો હતો. મામી બહુ મોટા ખોરડાના હતાં પણ નસીબજોગે, એમના પિતાજીને મામા-મામીના લગ્ન પહેલાં ધંધામાં બહુ મોટી ખોટ ગઈ હતી. મારા નાના-નાની ખૂબ જ ભલા હતાં ને એ જમાનામાં વહુને પોતાના ઘરે કોઈ પણ કરિયાવર વિના લઈ આવ્યાં, એટલું જ નહીં પણ લગ્નનો બધો જ ખર્ચો પણ એમણે મૂંગે મોઢે કર્યો જેથી મામીના પિયેરિયાની આબરૂ રહી જાય. પણ, હરખીમાસીને ત્યારનું ઠસી ગયું હતું કે મામીના મા-બાપ બિચારા બનીને એમના ભોળા ભાઈ અને મા-બાપને છેતરી ગયા. બસ, તે દિવસની ઘડીથી એમને મામી સાથે અંટસ પડ્યું તે વર્ષો સાથે વધતું જ ગયું. નાના-નાની, મામા, મારી મા, બધાં જ સમજાવતાં રહ્યાં પણ હરખીમાસી ટસના મસ ન થયાં તે ન જ થયાં ઉપરથી કહેતાં, “એ દમિયલ રાં…નીનું રૂપ જ એવું કે મારો નાલ્લો ભાઈ તો ઘેલો ઘેલો થેઈ ગે’લો. નસીબ એના ફૂટેલા તે એની હાથે ભેરવાઈ ગીયો. મારો નાનકો તો હાવ ભોળિયો અને પાછો ઘેલો હો એટલો જ…! એમાં ને એમાં મારા દેવ જેવા મા-બાપ પણ એની ભેળા ફહાયા…! હંધોય ખર્ચો એ રાં…નીના ભિખારચોટ્ટા પિયેરિયાએ મારા મા-બાપ પાહેથી કરાવિયો.” મને હજીયે યાદ છે કે અમે સ્કૂલમાં હતાં ત્યારે ઉનાળાની રજામાં નાના-નાનીને ત્યાં જતાં, ને, મામી અમને નાસ્તો કે જમવાનું આપતાં ત્યારે જો હરખીમાસી ત્યાં હાજર હોય તો મામી સાંભળે એમ મોટેથી જાણી કરીને બોલતાં, “પોયરાઓ, ઉં કે’મ તી હાંભળો. તમે ખાવ તે પે’લાં આ કાગડા-કૂતરાને ખવડાવો. એ જો જીવી જાય તો જ તમે ખાવ. કોઈનો ભરોહો કરવા જેવો ની’મલે!” મામીની આંખોમાં પાણી તગતગી જતાં પણ હરખીમાસી જેનું નામ…! પીગળે એ બીજા…!
******
મામીને લગ્નના બે વર્ષે બેબી આવી. ડિલિવરીના છ મહિનામાં જ મામીને ટી.બી. થયો. હરખીમાસીએ મામી અને નાની બેબીની સારવાર અને કાળજી એક વરસ સુધી દિલોજાનથી કરી, તન, મન અને ધન થકી! ડોક્ટરોના ધક્કા ખાવાથી માંડી આખું ઘર સંભાળવાનું, બહારના અને ઘરના નાના-મોટા બધા જ કામ કરવા, નાની છ મહિનાની બેબીને રાત-દિવસ પોતાના જીવથી વધુ જતન કરીને મોટી કરવી અને મારા નાના-નાનીની સંભાળ લેવી એ સહેલું નહોતું. વિઘ્નસંતોષી લોકો તમાશો જોવા ને માસીને ઉશ્કેરવા કાન ભંભેરણી કરવા આવતાં. હરખીમાસી મા-બેનની ગાળો ચોપડાવતાં અને લોકોનું મોઢું બંધ કરાવતાં, એવું કહીને, “ઉં મારી ભાભીને ગમે ત કે’મ પણ તમે જો એના હારૂ એક અખ્ખરેય બોઈલા ને, તો હાહુજીના..તમારા હઉના ટાંટિયા હો ભાંગી લા’ખા..! મારા બેટા, નવરી નાથલીના….હાળી મલેલા…!” પણ, મામી જેવા સારા થયાં કે ફરી એનું એ.., ‘ચલ શરૂ હો જા, ઊઠા ખંજર, લગા મુક્કા, લગા ધક્કા…!’ મારી માએ હરખીમાસીને પૂછ્યું પણ હતું, “મોટીબેન, તમે, ભાઈ-ભાભીને આટલું બધું વ્હાલ કરો છો કે જીવ કાઢીને નાનકી અને ભાભીની સેવા કરી તો હજી આ કેવું વેર લઈને બેઠાં છો? ભાભી પણ તમારું કેટલું માન રાખે છે? જે થયું તે બેઉના મા-બાપની મરજીથી થયું એમાં ભાભીનો શું વાંક?” હરખીમાસી છેડાઈ પડ્યાં, “વાત પૈહાની ની’ મલે, વાત દાનતની છે. એવું કેઈલું ઓતે કે અમણાં પૈહા ની’મલે પણ હગવડ થાહે તીયારે દે’હું, તો જુદી વાત ઓતે. આપણે તો કાં ખોટ ઉતી કે બા-બાપુ પૈહા પાછા લેતે? લગન વખતે, ખોટા મોઢેય કે’વું જોઈતું ઉતું કે, ‘ધંધો ચાલી જાય તો, પૈહા પાછા દઈહું!‘ એવું તો ની’ બોઈલા ને પાછા બે પૈહા થીયા તે ઘેલહાગ….ના, પોતાના પોયરાના લગન તઈણ વરહ પછી થીયા, એમાં ભરપેટ પૈહા ખર્ચ્યા! મૂળે ઈ રાં…ના પિયેરિયાઓને, એ મરેલી દમિયલે કાં’ક તો કે’વું જોઈએ કે ની’? તું અને એનો ઘેલો વર, આપણો નાનકો, ભલે કાંઈ પણ કીયો, પણ હંધાયે કાલાઘેલા થાહે, ને છૂટી જવાના…! ઉં ની ફહાઉં, તું ને નાનકો ભલે એ હાહુજીની …આરતી ઉતારો…!”
કોણ જાણે હરખીમાસીને ઈશ્વરે કઈ માટીમાંથી બનાવી હતી, એનો જવાબ મને આજ સુધી નથી મળ્યો! હરખીમાસીનો અવાજ ખૂબ સૂરીલો હતો. ગામના સહુ બૈરાઓ, ઘરકામ, છોકરાઓનું અને ખેતીનું કામ પતાવીને કોઈ એકના આંગણાંમાં ભજન કીર્તન માટે ભેગા થતાં. બધામ જ હરખીમાસીને ભજન ગાવા બોલાવતાં. માસી જતી તો ખરી પણ ભજન શરૂ કરે એ પહેલાં પોતાની આગવી રીતે સહુની ખબર લેતી. “એઈ સુખી, બાપે નામ તો સુખી પાડ્યું પણ મૂઈ રડકીની રડકી જ ર’ઇ! કેમની આટલી હુકાઈ ગે’લી દેખાય? અને તારો ડોબો વર મણિયો, ખાવાનું આપે કે’ની? તારે તો પાછા નવ દહના બે પોયરા.” પછી મમતાથી માથે હાથ ફેરવીને કહેતી, “જો અલી, તારાથી કે તારા હુકડા, માંદલા મણિયાથી દા’ડિયે ની જવાય તો ઘેર આવીને અનાજ લઈ જજે. તુ હો ખાજે અને મૂઆ મણિયા ને પોયરાઓને પણ દે’જે.” જવાબમાં ગળગળી થઈને સુખી કહેતી, “બા, પરભુ તમને સો વરહના કરે..!” તો હરખીમાસી સામે તાડૂકતી, “તારું ડાપણ તારી પાહે રાખ. કાલ ઊઠીને મારું બોલવાનું કોઠે ની પઈડું તો તમે બધી કોલચો…ઓ, ભેગી થેઈને કે’હે કે મૂઈ ડોહી મરે તો આપણે છૂટીએ….!” ત્યાં વળી કોઈ જુવાન વહુ, એની સાસુ સાથે રાતના ભજનમાં આવી હોય તો હરખીમાસી એની સાસુને ધમકાવી નાખતાં, “ અલી, આવી જુવાન વહુઆરુને ભજનમાં રાગડા તાણવા લેઈ આવી તી પે’લા એના વર હારે એકલી રે’વા તો દે! પછી પરભુના ધામમાં પહોંચવાના રાગડા તણાવડવજે…!” એ જુવાન વહુ આ સાંભળીને દાંતમાં છેડો ઘાલીને હસતી. હરખીમાસીની ચકોર નજર એ તરત પામી જતી અને હરખીમાસી તરત જ કહેતી, “એલી ઘેલહા….રીની, ભાગ આંઈથી, ઘેર તારા ધણી પાહે…! અને આવતા શનિવારે અટવાડામાં તારા ધણી હારે જાજે. મજાના ધોઈલા કપડાં બેઉ પે’રજો ને ઓઠ પર પેલી લાલી હો ચોપડજે. તાં બધી જુવાન પોરીઓ આવહે તેની હારે તું યે હરખે હરખી લાગવી જોવે ને! ત્યાંથી મારા હારૂ પેલો ગુલાબી રંગનો ડોહીના બાલનો ગુચ્છો લેઈ આવજે… ને આ તારી અવરચંડી હાહુ કટાકુટ કરે તો એને, હાહુજીને, મારી પાહે લેઈ આવજે. એક ઢીંક મારીને એને પાંહરી ની કરી લાખું તો મારું નામ હરખી ની’મલે!” પછી, એની સાસુ સામે જોઈને કહે, “તારી હાહુગીરીની ઉશિયારી તારી પાહેં રાખજે, હમજી? રાં…ની, તારા દિકરા-વહુને રોઈકા છે અટવાડામાં જતાં તો તને તો હું હીદ્ધી દોર કરી લાખા!”
હરખીમાસીની હકૂમત ખાલી ગામના લોકો પર જ નહીં, માસાના ખેતરો પર પણ ચાલતી. વહેલી સવારે, સાડા પાંચ વાગે, બધા ખેત મજૂરો, દાડિયાઓ અને બે ‘સુપરવાઈજર’ માસીના આંગણાંમાં હાજર થઈ જતાં. એમાં જો કોઈ તાવ કે કોઈ બીજી બિમારીમાં કામ પર આવ્યો હોય તો હરખી માસીની નજરે એનું ઊતરેલું મોઢું ચડી જતું. માસી તરત પારખી જતી ને સુરતી ગાળો આપીને કે’તી, “મરી ગે’લો, કરમ ફૂટ્યો, મરવું ઓ’ય તો તારા ઘેરે રે’ઈને મર. મારા ખેતરે મરવા હારૂ હુ કરવા આઈવો?” પછી ગાંઠેથી રૂપિયા કાઢી, એ બિમારના હાથમાં પકડાવી બોલતી, “આ પૈહા લેઈ, દવાખાનું ખૂલતા જ, દેહાઈ દાકતરના દવાખાને પોં’ચી જા. થોડા પૈહા વધુ દીધા છે તો મોસંબી, કેળાં ને લીલી દરાખ લેતો જજે અને તારી વહુને આપણે ઘેર દૂઝણું લેઈ જવાનું કે’જે. પણ, જો આ પૈહાથી દારૂ પીધો છે તો ઢગરા પર લાકડીના ફટકા પર ફટકા દેવા! જા ઘેર, ને, હારો થેઈ જાય તીયારે જ કામે આવજે. મરતો થા આંઈથી…!”
********
મને એક પ્રસંગ યાદ આવે છે. તે વખતે હું અમેરિકાથી ભારત વેકેશન માટે આવી હતી. હંમેશની જેમ, હું માસી-માસાને મળવા ગઈ હતી. તે દિવસે, મણીમાસા જેવા કામેથી ઘેર આવ્યા કે માસીની ‘રામ લીલા’ ચાલુ થઈ ગઈ. ‘ઉં તમને એમ પૂછું કે, તમે ભગત થેઈ જ જીવવાના ઉતા તો મારી હારે પૈઈણ્યા કેમ? તમે તો એય મજાના, ચાઈલા ઓફિસે સવારે અને મારા માથે ખેતીકામની ઝૂંસરી લાખી….! પેલો રવલો આજે ફરી હો તાવે ફરફરતો કામે આવ્યો ઉતો તી મેં એને મૂઆ દેહાઈ દાક્તરિયાને દવાખાને મોકલ્યો. એ ગેલસપ્પા દાક્તરે એને હાત રૂપિયાની દવા આપી, ચાર દા’ડા આરામ કરવાનું કે’યું. અવે, એની બેનને પઈણે, એ રવલાના ભાગનું કામ કોની પાહે કરાવું? તમારે તો ની ના’વાનું કે ની નીચોવાનું મલે! મારા જ કરમ ફૂટેલા કે મારા બાપે તમારી કોટે બાંધી…! મારૂં રૂપ જોઈને, મને એક કે’તાં એકોતેર મળે એમ ઉતું! બધાય મારા બાપાને કે’તા કે કાગડાને કોટે મોતીનો હાર ની બાંધતા પણ મારો બાપો હાંભળે તો ને…!” માસા હસીને બોલ્યા, ”તો તારો વાંધો શું છે, હું કાગડો છું કે તું મારાથી ખૂબ વધુ રૂપાળી છે કે પછી રવલા જેવા મજૂરોને તારાથી સંભાળાતાં નથી? તારો વાંધો સમજાય તો ઉપાય પણ ખબર પડે..!” માસી છણકો કરીને બોલ્યાં, “ઉં બધ્ધું જ જાણું! ઉં જ કરમની ફૂટેલી, બો ની ભણેલી તી તમને લાગે કે ઉં અવરચંડી છું પણ,” પછી મારી સામે હાથ લાંબો કરીને કહે, “આ મીઠડીની માઈ જેમ ઉં ય મેટ્રીક લગણ ભઈણી ઉતે તો તમને થોડી જ પૈઈણવાની ઉતી?” માસા હસીને બોલ્યા, “તારાથી આ બધું જ સંભાળાતું ન હોય તો ચાલ, કાલ ને કાલ બધા જ ખેતરો વેચીને પરવારી જઈએ. પછી તું ય છુટ્ટી ને કર મનભરી મજા!” માસી કપાળે હાથ ઠોકી કહે, “તી તમારે મારા માથે આ ઉમરે પાપ ઠોકવુ છે! આ ઉ હંધુય વેચી કરીને ગેઈને, તો આ મૂઆ મજૂરો, એની હાહુજીના, દારૂ ઢીંચીને ઘેર જાહે ને બૈરાંઓને ઢીબશે. તી એમની અવદહાનું પાપ તો મારે જ માથે ઠોકાહે ને? આ ભવ તો અભણ તેઈ ને તમારે કોટે બંધેઈ પણ આવતો ભવ તો હુધરે ની? ઉં જીવા તાં લગી આ મજૂરિયાને પોહા. બસ, કે’ઈ દીધું તમને કે બધો વાંક તમારો છે! ” માસાથી રહેવાયું નહીં, મારી તરફ જોઈને કહ્યું, “આ તારી માસીનું શું કે’વું? બિમાર દાડિયાની સારવાર કરાવી, એની સંભાળ લીધી અને પછી પોતે જ પોતાના જીવ પર કંકાસ નોતરે ને ગાળો બોલે એ જુદું!” ત્યાં સુધી માસી ઠંડી થઈ ગઈ હતી. હરખીમાસી હસી પડી અને બોલી, “હાવ હાચું કે’ઉં, આવું ગેલસપ્પું ને ગાળો ન બોલું ની, તી મને બૌ બુઠ્ઠું લાગે. જાણે ઉં તમને મીઠા વગરની દાર ને મોણ વગરની ભાખરી ખવરાવતી છું!”
માસીની આ દામ્પત્યાજીવનની લાડ કરવાની કળા પર હું તો વારી ગઈ! માસીની ગાળો બોલવાની ટેવને માસાના જમણની વાનગીઓને માસી જ જોડી શકે…! માસા પણ ગાંજ્યા જાય એવા નહોતા, અને એક મીઠા અહોભાવથી માસીને જોઈને કહે, “સાચું કહું, તું જેવી છો એવી જ મને બહુ ગમે છે!” માસી એ ઉમરે પણ શરમાઈને લાલ લાલ થઈ ગયાં. “લાજો હવે આ ઉમરે! જુવાન પોરી હામે બેઠી છે ને તમે ફાવે એમ ભચડો છો!” આજે પણ, માસીના મોઢા પર પડેલા શરમના શેરડા મને યાદ છે.
********
મારા ભાઈની જનોઈ નિમિત્તે માસા-માસી પોતાનું ગામ છોડીને પહેલીવાર મુંબઈ આવ્યાં હતાં. માસીને કોઈકે ગામમાં કહ્યું હતું કે મુંબઈ જાવ ટ્રેનમાં તો કલ્યાણના સ્ટેશન પર ફક્કડ બટેટાવડા મળે છે, તે જરૂર ખાજો. માસીને જેટલો ગાળો બોલવાનો શોખ એટલો જ ખાવાનો શોખ. આજ સુધી હું નક્કી નથી કરી શકી કે માસીને સૌથી વિશેષ ખાવાનો શોખ હતો કે ગાળો બોલવાનો! માસી કલ્યાણ ક્યારે અને ક્યા સ્ટેશન પછી આવે એની બરાબર બાતમી લઈને આવ્યાં હતાં. કલ્યાણ પહેલાંનું સ્ટેશન આવ્યું કે હરખીમાસીનું રટણ ચાલુ થઈ ગયું કે ‘બટેટાવડા લી આપવા માટે તીયાર રે’જો.’ માસાએ ઘણું કહ્યું કે કલ્યાણ સ્ટેશન પર ગાડી માત્ર ૭ મિનીટ ઊભી રહે છે તો બટેટાવડા લાવવાનો સમય નહીં રહે પણ માસીને તો ટ્રેનના આટલા લોકોમાં ડ્રામા કરવા માટે પ્લેટફોર્મ મળી ગયું. હરખીમાસીનો ગાળોનો ‘સપ્તકોટિ સંદૂક’ ખૂલી ગયો. માસીની નાટ્યકળાને સોળ શણગાર સજીને ખીલવાનો મોકો મળી ગયો. “ઉં જ નસીબની ફૂટેલી તી આજ લગી કોઈ દા’ડો ઘરની બા’ર ની નીકળી! જનમ આખો તમારી અને તમારી માના ગોલાપા કરતી રે’ઈ…! તમારી માએ હો કોઈ દા’ડો હારુ ખવડાઈવું ઓય એવુ મને યાદ ની’મલે, ને મેં હો તમારા માય દિકરા પાહેથી કદી કાંઈ માઈગું ની..! આજે આટલા વરહો પછી ચાર મૂઆ વડા હું માગ્યાં કે તમે આમ બા’ના કરો? મારા જ કરમ ફૂટેલા કે આખી જિંદગી તમારી ડોહલી માને હાંચવી ને મને આજે હડેલા વડા હારૂ ના કે’ય? પરભુ, અવે તો મને આંઈથી ઉપાડી લે તો હારૂ! ઉં ય છૂટું અને તમેય ઉંથી છૂટો…!”
હરખીમાસીના આંસુઓ પણ ‘ઓન ડિમાન્ડ’, ખળખળ વહેવા માટે ‘ટ્રેઈન્ડ’ હતાં. ટ્રેનમાં હાજર સહુ માટે તો આ પરફેક્ટ ફ્રી ડ્રામા હતો. હરખીમાસીની ગાળો અને ડ્રામાને એક સાથે સહેવાની માસામાં શક્તિ નહોતી. માસા કલ્યાણ આવતાં બટેટાવડા લેવા ઊતરી ગયા ને પાછા આવે તે પહેલાં ગાડી તો ઊપડી ગઈ! માસી એકલી રહી ગઈ એ ડબ્બામાં અને હવે તો ભગવાન જ માલિક હતો બાકી રહી ગયેલા પેસેન્જરોનો…! મને આજે પણ કલ્પના નથી આવતી કે ટ્રેન દાદર પહોંચે ત્યાં સુધી હરખીમાસીએ શું તોફાન મચાવ્યું હશે? દાદર આવ્યું. મારી મમ્મી માસીને રિસીવ કરવા સ્ટેશને ગઈ હતી. માસી નીચે ઊતરી અને જેવી મમ્મીને જોઈ કે સ્ટેશન પર જ બેસી પડીને ઠૂઠવો મૂક્યો, “ઓ મૂઈ રડિયલ, તારા બનેવી ખોવાઈ ગીયા..! ઉં જ અવરચંડી, ગધેડી, ને ઉંએ જ તારા પોયરાઓ હારુ, એમને વડા લેવા ધકેલીયા ને મરેલી આ ગાડી તો ઊપડી ગઈ! એની પાંહે તો તારા ઘરનું હરનામું હો ની’મલે! ઈ તો મારી ચોરીમાં મૂઈકું છે. તારા બનેવી હાવ ઢીલી માટીના અને મુંજી. ગીરદીમાં એકલા ચાલી હો ની હકે! મોઢાના મોળા એવા કે કોઇને હરનામું પૂછહે હો નઈં! બાઘા મારતા ઊભા રે’હે અને જો કોઈ મવાલીના આતે ચઢી જાશે તો પછી એમને ઠૂંઠા કરીને આંઈ, બાકી જિંદગી ભીખ મંગાવહે…!” પછી, મારી મા સામે હાથ લાંબા કરી કરીને છાતી કૂટતાં બોલ્યા, “આ હંધોય તારો વાંક. તું રડિયલ, એના હાહુજીની.. મને કે’વું તો ઉંતુ ને કે બેન, ગાડી થોડા જ ટે’મ હારુ ઊભતી છે તો ઉં ની’ મોકલતે! તું રોતલી રોવામાંથી ઊંચી આવે તો આવું કે’ય ને? હંધોય તારો વાંક!’ મારી મમ્મી તો માસીના નાટકોથી ટેવાયેલી હતી. એણે માસીને ઊભા કર્યાં અને કહ્યું, ‘મોટીબેન, ચિંતા ન કરો. માસા ભણેલા છે અને રેલ્વેમાં કામ કરે છે. એમને કાંઈ તકલીફ નઈ પડે. ઘર શોધીને આવી જશે.” અને હરખીમાસીને ઘરે લઈ આવી. માસી બાની સાથે ઘેર આવ્યાં પણ એમના મોઢાની ‘સરસ્વતી’ અને રડારોળ ચાલુ જ હતાં. હું અને મારો ભાઈ ત્યારે ૧૩ અને ૧૫ વર્ષના હતાં અમે બેઉ માસી પાસે બેસી એમના આંસુ લૂછતાં હતાં. માસી અમને વ્હાલ કરતાં કહે, “તારા માહા ની આવહે તો મારું હુ થાહે? મૂઆ કલ્યાણના વડા ગીયા તી વધારામાં…!” પછી માસી અમને બેઉને માસાની “ઉપલબ્ધિઓની” વાતો કહેતા રહ્યાં. વાતો સાંભળીને અમે બેઉ, ભાઈ-બેન નક્કી ન કરી શક્યાં કે માસા ‘સુપરમેન’ હતા કે સાવ ઢીલા અને મુંજી હતા? આમ ને આમ કલાકેક વિતી ગયો અને ડોરબેલ વાગી. બાએ દરવાજો ખોલ્યો તો માસા બટેટાવડાનું પેકેટ લઈ સામે ઊભા હતા. માસાને હેમખેમ જોઈ માસીનું રડવાનું એકદમ ગાયબ અને ગાળો બોલવાનું શરૂ પણ આ વખતે મેં એમને કહ્યું, “માસી તમે ગાળો બોલશો તો હું તમારી સાથે વાત નહીં કરું.” અને માસીએ મને વ્હાલથી એમની છાતી સરસી ચાંપી. અચાનક મારા ગાલ પર પાણી પડ્યું, મેં માથું ઊંચુ કરીને જોયું તો માસી રડતાં રડતાં બોલ્યાં, “તું મારા પેટે કેમ ની જનમી? આ રોતલીને કઈં થી મળી? પણ એક કે’ઉં. તું ય રાં…ની બે ચાર હુરતી ગાળો ચોપડાવ ને જો કેવું અલકુંઅલકું લાગે છે? જલહો ની પડે તો પૈહા પાછા હોં!” અમે બધાં જ હસી પડ્યાં. માસી જેવી ડ્રામા ક્વીન મેં આજ સુધી નથી જોઈ!
********
તે દિવસે, સાંજના પાંચ વાગે હું ઓફિસેથી નીકળતી હતી અને મને મારી મમ્મીનો ફોન આવ્યો કે હરખીમાસી ગુજરી ગયાં! હું હતબુધ થઈ ગઈ. મમ્મીએ વિગત આપતાં કહ્યું હતું કે તે દિવસે, સવારના ૩-૪ વાગ્યાની આસપાસ માસીએ માસાને ઊઠાડ્યા અને કહ્યું કે એમને ગભરામણ થાય છે. માસા એમને બેસાડતા જ હતા ત્યાં તો માસાના હાથમાં જ માસી ઢળી પડ્યાં. હું તાત્કાલિક જ પહેલી ફ્લાઈટ બુક કરાવી ભારત આવવા નીકળી ગઈ અને મુંબઈથી તરત જ માસીને ગામ, સુમેરપુર પહોંચી. હું પહોંચી ત્યારે માસીનું ચોથું હતું. આંગણાંમાં, માસીના ફોટા સામે એમની અસ્થિનો કુંભ પડ્યો હતો અને દીવો ને અગરબત્તી બળી રહ્યા હતા, મારા મનની જેમ જ! આખુંય ગામ બેસણામાં હતું. માસીના ફોટાને વળગીને હું ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહી હતી. મારા કાનમાં અવાજ પડઘાયો, “કે’તી છું, રડે હાના હારૂ? એક કે’ઉં. તું ય રાં…ની બે ચાર હુરતી ગાળો ચોપડાવ ને જો કેવું અલકુંઅલકું લાગે છે? જલહો ની પડે તો પૈહા પાછા હોં!” મેં માસીના ફોટા સામે આંસુભરી આંખે જોયું તો માસી ફોટામાં મરકતાં હતાં!
સુશ્રી જયશ્રી વિનુ મરચંટનો સંપર્ક jayumerchant@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ફિલ્મી ગઝલો – ૩૮. પ્યારેલાલ ( P L ) સંતોષી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
પ્યારેલાલ સંતોષી પોતાના જમાનાના હરફનમૌલા કલાકાર હતા. નિર્માતા, દિગ્દર્શક, લેખક, સંવાદ લેખક, પટકથાકાર અને ગીતકાર. હાલ સક્રિય ફિલ્મકાર રાજકુમાર સંતોષીના એ પિતા પણ એ ઓળખાણ અન્યાયકારી ગણાય. એમણે ૪૦૦ થી યે વધુ સુંદર અને લોકપ્રિય ગીતો લખ્યા પણ એમાં ગઝલ નહીંવત. ‘ જબ દિલ કો સતાએ ગમ તૂ છેડ સખી સરગમ ‘ અને ‘ કોઈ કિસીકા દીવાના ના બને ‘ એ બન્ને ગીતો (ફિલ્મ : સરગમ ) એમની પહેચાન તરીકેઉલ્લેખી શકાય. એમણે જે ગણીગાંઠી ગઝલો લખી એમને પણ, એમની ગાયન શૈલી
જોતાં ગઝલો તરીકે ઓળખ મળી નહીં ( એ પણ કબૂલ કે સરેરાશ શ્રોતાને ગીતની મીઠાશ અને કર્ણપ્રિયતા જોડે સંબંધ છે, એ ગીત, ગઝલ, ભજન કે નઝ્મ છે એની સાથે નહીં ! )કહે છે, એ જમાનાની મશહૂર અભિનેત્રી રેહાનાના એ ગડાબૂડ પ્રેમમાં હતા. એમણે જ્યારે પ્યારેલાલના પ્યારને ઠુકરાવ્યો ત્યારે એ વેદનામાંથી પ્યારેલાલની કલમેથી એક ગીત નીપજ્યું ‘ તુમ ક્યા જાનો તુમ્હારી યાદ મેં હમ કિતના રોયે ‘ અને એ ગીત એમણે પોતે બનાવેલી અને નિર્દેશિત કરેલી રેહાના દ્વારા જ અભિનીત ફિલ્મ ‘ શીન શિનાકી બુબલા બૂ ‘ માં લીધું અને સી રામચંદ્રના સંગીત અને લતાના કંઠે એમના શબ્દોને અમર કરી દીધા !
ફિલહાલ, એમણે લખેલી પણ ગઝલો ક્યારેય ન કહેવાઈ એવી બે ગઝલો :
વો હમ સે ચુપ હૈં હમ ઉનસે ચુપ હૈ, મનાને વાલે મના રહે હૈં
નિગાહેં ઉઠ-ઉઠ કે ઝુક રહી હૈં, મઝે મુહોબત કે આ રહે હૈયે જૂઠી આહેં યે જૂઠે આંસૂ, ઝલક રહે હૈં જો હર પલક મેં
બતા રહે હૈં કે ટૂટે દિલ દો, હઝારોં સદમે ઉઠા રહે હૈંઘડી મેં બિગડે ઘડી મેં ઝઘડે, હૈં બૈઠે ફિર ભી ઐસી અદા સે
દબા કે અપને હોઠોં કો દોનોં, હંસી કો અપની છુપા રહે હૈં..– ફિલ્મ : સરગમ (૧૯૫૦)
– લતા / ચિતલકર
– સી રામચંદ્ર
જો મુઝે ભુલા કે ચલે ગએ, મુઝે યાદ ઉનકી સતાએ ક્યોં
જો કિસીકા બન કે ન રહ સકે, વો કિસી કો અપના બનાએ ક્યોંતેરા પ્યાર એક બહાના થા, એક દો ઘડીકા ફસાના થા
મુઝે ઉમ્ર ભર કો રુલાના થા, કોઈ ચાર દિન કો હંસાએ ક્યોંવો દિન રહે ન વો રાતેં રહીં, ન વો તુમ રહે ન વો બાતેં રહીં
વો બહાર આઈ ચલી ગઈ, દિલ ઉસ પે આંસૂ બહાએ ક્યોં ..– ફિલ્મ : સંગીતા (૧૯૫૦)
– લતા
– સી રામચંદ્ર
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
કુંવારા બાપ (૧૯૭૪)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
બાળ કલાકાર તરીકે અભિનય કારકિર્દીનો આરંભ કરનાર મહેમૂદે આગળ જતાં ચરિત્ર અભિનેતા અને પછી હાસ્ય અભિનેતા તરીકેની ઓળખ પ્રાપ્ત કરી, જે આજીવન બની રહી. આ ઉપરાંત તેઓ ગાયક, દિગ્દર્શક અને નિર્માતા પણ બની રહ્યા અને એ તમામ ક્ષેત્રે સફળ રહ્યા. અનેક પ્રતિભાશાળી કલાકારોને તેમણે ફિલ્મમાં તક આપી. રાહુલ દેવ બર્મનને સ્વતંત્ર સંગીતકાર તરીકે અજમાવ્યા એ પછી સંગીતકાર રાજેશ રોશનને પણ! આ બન્ને સંગીતકારો પ્રતાપી પિતાના પુત્રો હતા. આથી તેમના આગમન વખતે તેમની પાસે અનેક અપેક્ષાઓ હશે. રાહુલ દેવે આગળ જતાં પોતાનો આગવો માર્ગ કંડાર્યો અને પિતાની ઓળખથી સાવ ભિન્ન ઓળખ ઊભી કરી. તો રાજેશ રોશને પણ લગભગ એમ કર્યું. માધુર્ય રાજેશ રોશનના સંગીતની ઓળખ કહી શકાય, જે પ્રકારભેદે રોશનના સંગીતની પણ ઓળખ હતી. રાજેશ રોશને પોતાની આગવી શૈલી ઊભી તો કરી, પણ તેઓ એમાં કેદ થઈ ગયા એમ જણાય છે. આ ઉપરાંત વિદેશી ધૂનોનો તેમણે ઘણો ઉપયોગ કર્યો. રાજેશ રોશનના સંગીતની વાત નીકળે ત્યારે સહજપણે જ ‘જુલી’, ‘દૂસરા આદમી’, ‘ખટ્ટામીઠા’, ‘દેસપરદેસ’, ‘મનપસંદ’, ‘સ્વર્ગનર્ક’, ‘આપ કે દીવાને’, ‘યારાના’, ‘કામચોર’, બાતોં બાતોં મેં’ જેવી ફિલ્મોના ગીતો યાદ આવી જાય.

રાજેશ રોશનનો સંગીતકાર તરીકે પ્રવેશ મહેમૂદ દિગ્દર્શીત ‘કુંવારા બાપ’ દ્વારા થયો, જેની રજૂઆત ૧૯૭૪માં થઈ હતી. આ ફિલ્મની કથા પર ચાર્લી ચેપ્લિનની ‘ધ કીડ’ની પ્રગાઢ અસર હતી, છતાં તેની પર સુવાંગ મહેમૂદની છાપ હતી. મહેમૂદે આ ફિલ્મ દ્વારા પોલિયોની રસી મૂકાવવાનો સંદેશ આપીને તેને એક સંદેશાત્મક ફિલ્મ બનાવી.

(રાજેશ રોશન) મહેમૂદની ફિલ્મમાં ધર્મેન્દ્ર, હેમામાલિની, અમિતાભ બચ્ચન જેવા કલાકારો મહેમાન કલાકારની ભૂમિકામાં જોવા મળે એ આશ્ચર્ય નથી. પણ આ ફિલ્મ થકી પ્રવેશેલા નવાસવા સંગીતકાર રાજેશ રોશને ફિલ્મના સંગીત થકી આશ્ચર્ય સર્જ્યું. ફિલ્મનાં કુલ ગીતો ફક્ત ચાર જ હતાં, જે મજરૂહ સુલતાનપુરીએ લખેલાં હતાં. પણ આ ચાર પૈકીનું એક ગીત સાવ નવિન પ્રકારનું હતું. તેના ગાયકો કદાચ સૌ પ્રથમ વાર ફિલ્મમાં ગાઈ રહ્યા હતા. એ ગીત એ વર્ષની ‘બિનાકા ગીતમાલા’માં ટોચના સ્થાને રહ્યું. મહમ્મદ રફી અને મહેમૂદની સાથે એ ગીતમાં પહેલવહેલી વખત વ્યંઢળોના સ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો. એ ગીત હતું ‘સજ રહી ગલી મેરી માં’. મહેમૂદને મંદિરમાંથી એક બાળક મળી આવે છે અને એ તેને પોતાની સાથે લઈ આવે છે. બાળકના આગમનની જાણ થતાં વ્યંઢળો તેને રમાડવા આવે છે અને પૂછે છે કે આ બાળકની મા કોણ? એ તારી પાસે ક્યાંથી આવ્યું? આ સવાલના જવાબમાં ગીત છે, જેમાં મહેમૂદ આખો ઘટનાક્રમ જણાવે છે. ‘મૈં મંદિર પહુંચા…’ ‘હાજી’, ‘એક બચ્ચા દેખા…’ ‘હાજી’ જેવી પંક્તિઓમાં વ્યંઢળોનું સમૂહગાન ‘હાજી’ એ સમયે એટલું બધું લોકપ્રિય થઈ ગયેલું કે અમે મિત્રો વાતવાતમાં એનો પ્રયોગ કરતા. આ ગીત આજે પણ એટલું જ અસરકારક લાગે છે.
આ ગીત ઉપરાંત કિશોરકુમાર અને લતા મંગેશકરના સ્વરમાં ‘આ રી આજા નિંદીયા, તૂ લે ચલ કહીં’ અત્યંત મધુર લોરી છે. લતા અને કિશોરના સ્વરમાં ગવાયેલું ગીત ‘જય ભોલેનાથ હો પ્રભુ’ સરેરાશ ગીત છે.
આ ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે ‘મૈં હૂં ઘોડા, યે હૈ ગાડી’ ગીત છે. આ ગીતની મૂળ ધૂન ‘શતરંજ’ ફિલ્મમાં મહેમૂદ દ્વારા જ ગવાયેલી પંક્તિઓ ‘લાલ ઘોડા, લાલ જોડા’ની જ સંવર્ધિત આવૃત્તિ છે. આ ફિલ્મમાં મહેમૂદની ભૂમિકા પગરીક્ષાવાળાની છે. પોતાની પગરીક્ષા ચલાવતાં ચાલકની નજરે પડતી સૃષ્ટિનું એમાં વર્ણન છે.
ગીતના શબ્દો આ મુજબ છે. આરંભ મહેમૂદના સ્વર અને એ પછી કોરસથી થાય છે. ‘મૈં હૂં ઘોડા’ વખતે ઘોડાની ટાપનો અવાજ સરસ રીતે પ્રયોજ્યો છે.
मैं हूँ घोडा, ये है गाडी
मेरी रिक्शा सब से निराली
ना गोरी है, ना ये काली
हो हो हो हो हो होघर तक पहुंचा देने वाली
मैं हूँ घोडा, ये है गाडी
मेरी रिक्शा सब से निराली
ना गोरी है,ना ये काली
हो हो हो हो हो होघर तक पहुंचा देने वाली….
ओय! अरे, सामने क्या देख रहे हैं, पीछे से पाकिट मार रहा है…
एक रुपैया भाड़ा, पैसेंजर इतना जाड़ा
माला नाको रे नाको रे नाको रेमाला नाको रे नाको रे नाको रे
हो दुबला पतला चलेगा, आड़ा तिरछा चलेगा
साला हो या हो वो साली, याने की आधी घरवाली
हो हो हो हो होघर तक पहुंचा देने वाली….
जे हवालदार! खाली मोटर दिख रही क्या? रिक्शावाले कु भी देखो, भई!
एक दिखाकर बीड़ी, ठुकवा दी चार गाडी.
अरे पैसे का खेला है खेला
हो जो मर्ज़ी है करा लो, पाकिट से नोट निकालोफिर ले जाओ जेब खाली,
एएए बाजू हट बुर्केवाली
हो हो हो हो हो हो
घर तक पहुंचा देने वाली….हम आज़ाद हैं मिस्टर, क्या इन्सां और क्या जनवर,
मेरे देश में सारे बराबर
मेरे देश में सारे बराबर
हो कुत्ता गद्दे पे सोये
मानव चादर को रोये
ज़िन्दगी लगती है गाली
हो ज़िन्दगी लगाती है गाली
हो हो हो हो हो होघर तक पहुंचा देने वाली….
मैं हूँ घोडा, ये है गाडी
मेरी रिक्शा सब से निराली
ना गोरी है, ना ये काली
हो हो हो हो हो हो
घर तक पहुंचा देने वाली
हे….
घर तक पहुंचा देने वाली
हो….
घर तक पहुंचा देने वाली‘કુંવારા બાપ’નું આ ટાઈટલ સોન્ગ નીચેની લીન્ક પર સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
‘વિજ્ઞાન વિચાર’ : પ્રકરણ ૧લું – વિજ્ઞાન એટલે શું’? – વિજ્ઞાનની પધ્ધતિ – નિયમશોધન
આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.
આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.
સંપાદન મડળ – વેબ ગુર્જરી
કેવલ કલ્પનાશક્તિથી પ્રાપ્ત કરેલા નિયમો ઘણીવાર ખોટા પડે છે; અને ઘણીવાર બધી મહેનત વ્યય જાય છે. જુદા જુદા તથ્યોને ખોટા વગમાં મુકવાથી, તેમની વાસ્તવિક અગત્ય ભુલાઇ જાય છે અને તેથી પરિણામો પણ દોષિત યાય છે. માટે તથ્યો એકઠાં કર્યા પછી પણ તેમનું પૃથક્કરણુ અને વર્ગીકરણ કરવાનું અને તેમાંથી વ્યવસ્થાના તત્ત્વો શોધવાનું કામ ઘણી જ સ’ભાળ અને ચતુરાઇથી કરવાનું છે. તેમાં નકશા, પત્રકો, કોઠા, રેષાઓ,* વગેરે યુક્તિઓના લાભ લેવાથી કામ સરળ યાય છે. નિયમિત અને અનિયમિત વર્તન સહેલાઇથી પારખી શકાય છે, અને તેથી બન્નેનો ભેદ સમજીને તેર્માથી વધુ પ્રયોગ અને નિરીક્ષણની નવી દિશા અને નવાં ક્ષેત્ર શોધવાની તક મળે છે. રસાયનવિઘામાં મેન્ડેલીફ નામના રશિયન વૈજ્ઞાનિકે બધાં રાસાયનિક તત્ત્વાને તેમના અણુવજનની સંખ્યા પ્રમાણે ગોઠવવાથી, અને તે પ્રમાણે એક કોષ્ટક તૈયાર કરવાથી રાસાયનિક અન્વેષણને ઘણી રીતે ઉત્તજન મળ્યું છે. કોષ્ટકમાં ખાલી રહેલી જગ્યાએ નવાં તત્ત્વો હોવાં જોઇએ એ વિચારથી તેની શોધ કરવાની પ્રગત્તિ યઈ અને સામગ્રી પણ મળી. વળી જૂનાં જાણીતાં તત્ત્વોના અણુભારાંકમાં પ્રયોગાત્મક ભેદ અથવા ભૂલ શોધવાનું નવું સાધન પ્રાપ્ત થયું.
તથ્યોની વ્યવસથા કરવાનું કામ ફકત બહારની ગોઠવણમાં પૂરું થતું નથી. દરેક તથ્યને વ્યવસ્થાપૂર્વક ગોઠવવામાં અને ત્તેની પરીક્ષા કરવામાં તે વિષયના ખાસ શિક્ષણની જરૂર પડે છે. રાસાયનિકોના હાથે પદાર્થના વાસ્તવિક સ્વરૂપની તપાસ કરવાને માટે પૃથક્કરણ કરવામાં આવે છે. તે કામથી શિલા અને પથ્થરની બારીક પતરી ધસીને સૂક્ષ્મદર્શક કાચ નીચે જોવાનું કામ જુદા જ પ્રકારનું હોય છે, અને તેથી પ્રાણીવિદ્યાના અભ્યાસીઓનું પ્રાણીઓની અંદરની રચના જોવાનું કામ અથવા તો જંતુશાસ્રીઓની કામ કરવાની યુકિતઓ જુદા જ પ્રકારની હોય છે. તે છતાં વિજ્ઞાનની બધી શાખાઓના અભ્યાસની પ્રણાલિકા છેવટે એકસરખી જ હોય છે. દરેક ધટના સંબંધી સઘળું જ્ઞાન મેળવ્યા પછી, ખરી ખોટી હકીકતો જુદી પાડ્યા પછી અને બધાં તથ્યોને એકઠાં કર્યાં પછી અથવા તો એકઠાં કરવાની ક્રિયામાં જ ઘણા! પ્રકારના સંબંધો સ્પષ્ટ થાય છે, તેમની પૂર્વાનુગામી વસ્તુસ્થિતિ સ્પષ્ટ થાય છે અને સાથેના કાર્યકારણના સંબંધની દિશાનું કાંઇક રેખાદર્શન થાય છે. તે ઉપરથી વ્યાપ્તિઓ પણુ સ્ફુરી આવે છે. આ સ્ફુરણો નૈસર્ગિક શોધકબુદ્ધિવાળાઓને ફક્ત કલ્પના અને વિચારથીજ સ્ફુરે છે[1]; પરંતુ સાધારણ વૈજ્ઞાનિકને તો ઘણી મહેનત અને ચિંતનને જ પરિણામે પ્રાપ્ત થાય છે. પહેલા પ્રકારના સ્ફુરણાનાં દૃષ્ટાંત ન્યૂટન અને ડાર્વિન અને મેયરનાં આપણે જોઈ ગયા. બીજા પ્રકારનાં સ્ફુરણાનાં ખાસ દૃષ્ટાંત તો વૈજ્ઞાનિકોના કાર્યમાં રોજ મળે છે. સૂર્ય ઉપરના ડાઘનો સતત ત્રીસ વર્ષ અભ્યાસ કરનાર શ્વાબે ફ્ક્ત એક જ વ્યાપ્તિ નિયમ શોધી શક્યો હતો કે સૂર્ય ઉપર દેખાતા આ ડાધ નિયમિત રીતે વધતા-ધટતા દેખાય છે. અને આ વધઘટ-કાળ લગભગ દ૨ દર વર્ષે ફરીથી આવે છે. પરંતુ તેથી શ્વાબેનું કામ વ્યય ગયું એમ કહી શકાય નહિ. તેના જેવા અસ’ખ્ય વિજ્ઞાનીઓ ફક્ત તથ્યો ચોકસાઇથી એકઠાં કરીને રાખી મૂકે છે; આ તથ્યોમાંથી કેપ્લર, ન્યૂટન કે ડાર્વિનન જેવા કોઇ એક પ્રતિભાસાલી વિચારકો જ વ્યાપ્તિમય નિયમોની શોધ કરી શકે છે. વર્ણનાત્મક વનસ્પતિશાસ્ર, વર્ણનાત્મક જીવનવિદ્યા, વર્ણનાત્મક રસાયનવિદ્યા વગેરે અનેક વિજ્ઞાનની શાખાઓના વર્ણનાત્મક વિભાગમાં કેવલ તથ્યોનો સંગ્રહ હોય છે, પરંતુ તૈ વર્ણનાત્મક વિભાગમાંથી નવા નિયમો અને સિદ્ધાન્તો ફલિત થાય ત્યારે ખરૂં વિજ્ઞાન ઉદ્ભવે છે. ટાઈકોબ્રાહી જેવા ખગોલવૈત્તા બધાં તથ્યો એકઠાં કરે ત્યાર પછી જ કેપ્લર જેવા વિચારકોને નિયમશોધનનું કાર્ય સૂઝે અને ત્યાર પછી જ ન્યૂટન જેવા મહાવિજ્ઞાનીનું કામ સિદ્ધ થઈ શકે. તથ્ય શોધવાનું અને નિયમ શોધવાનું’ એ બે કામ ઘણા જુદા જ પ્રકારનાં છે. એ વિષે લૌર્ડ કેલ્વીન બહુ ભાર દેતા. તેઓ પહેલા કાર્યને “કુરતનો ઇતિહાસ” અને બીજા કાર્યને “કુદરતતુ’ તત્વજ્ઞાન” એમ કહેતા. આ શબ્દો હવે વપરાતા નથી, પરં’તુ તે ઉપરથી નિમમશોધનના કાર્યની અગત્ય સમજાય છે.
[1] વધુ માટે જુઓ: Tyndall – Scientific use of imagination.
ક્રમશઃ
હવે પછીના અંશમાં “નિયમ સિદ્ધિ”વિશે વાત કરીશું.
-
ખેતીમાં “જૈવ જગત” નું અમૂલું યોગદાન
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
મારે વાત કરવી છે ૧૯૫૦ – ૬૦ ના સમયગાળા આસપાસની-મારી સાંભરણ્યની. તે વખતે ગામડું એ એક સ્વાવલંબી એકમ હતું. તેનો ખેતી જ મુખ્ય ઉદ્યોગ હતો. ખેતીની જ પેદાશમાંથી પાકો માલ બનાવનારા-કપાસ લોઢવાના ચરખા-જીન, કાપડ વણવાની હાથશાળો, કોલ્હુ, તેલઘાણી વગેરે ગ્રામોદ્યોગો પણ ખેતીની આસપાસ જ વણાએલા હતા. અને ગામની જરૂરિયાતો માટે લુહાર, સુથાર, ચમાર, કુંભાર, દરજી, વાળંદ, ગોર, ગોવાળ, પૂજારી વગેરે ગામડે વસતાં. અનાજથી માંડી મસાલા સુધીનું બધું ખેડૂતો પકવતા. નાણાંનું ચલણ ઓછું હતું. કામ કરનાર મજૂરને રોજેરોજ અને વહવાયાં બધાંને બાર મહિને ઉધડથી માલના રૂપમાં મહેનતાણું આથ-અપાતું.
તે દિવસોના ગ્રામ્યજીવનની વાત કરું તો જરૂરિયાતો ઓછી હતી. જીવ સંતોષી હતો. બીજાના સુખદુ;ખમાં સૌ ભળતાં. સારા પ્રસંગે અગાઉ થયેલ મનદુ:ખના સમાધાન થતાં. ગરીબોની ચિંતા સૌ કરતા. પુજારી, બ્રાહ્મણ, ભંગી, જેવા બીન ધંધાર્થી માટે લગ્ન પ્રસંગમાં “ગામઝાંપો” લેવાતો. ઘરડાઘર અને વૃદ્ધાશ્રમની કલ્પના પણ નહોતી. સંબંધ,વેવિશાળ કે લગ્ન બાબતે વડિલોની આમન્યા રખાતી. લગ્ન એ ફારસ નહીં, પવિત્ર બંધન ગણાતું. જવલ્લે જ બનતો “છૂટાછેડા” નો પ્રસંગ દુ:ખદ ગણાતો.
ખેતીમાં પશુઓની ભેર લેવાતી.=
ગાય, બળદ, ભેંશ, ઘેટાં-બકરાં અને ઘોડી તો ખેતી અને ખેડૂતના બડકંમદાર ભેરુ ગણાતા. બધાંને ખેતીમાંથી નીકળતી ગૌણપેદાશ રૂપી ઘાસ-ખાણ ખવડાવીને તેમની પાસેથી શક્તિભર કામ લેવાતું. તેમાંયે “ગાય” એ તો માત્ર “પશુ” નહીં, પણ “માતા” ગાણાતી. એને કપાળે ચાંદલો કરી, પ્રદક્ષિણા ફરી, પૂજા એટલામાટે કરાતી કે તે હાંડો ભરીને “દૂધ” તો આપે, પણ વધારામાં ધરતીની ભૂખ ભાંગે એવું “ગોબર” આપે, ખેતીપાક અને માનવ આરોગ્યની ચિંતા કરનારું “ગોમૂત્ર” પણ આપે.એટલે તો સારા માઠા પ્રસંગોએ સ્થળ જંતુ રહિત કરવા ગોમૂત્રનો છંટકાવ અને ગોબરનું લીંપણ આજે પણ કરવામાં આવે છે.
તે સામે ખેડૂતો તરફથી પાલતુ પશુઓ લાડ-પ્રેમ પણ કુટુંબના સભ્ય હોય તેટલો પામતાં.અત્યારે હાલ, આવો અમારી વાડીએ- દરવાજામાં દાખલ થઈએ ને અમારી ગાયો બોલીને આવકાર ન આપે તો અમારો પરસ્પરનો ભાવ ઓછો છે તેમ ગણજો. સવાર-સાંજ દોહન ટાણે મારાં ગૃહિણી જ્યાં હાથમાં હાંડો અને શેલાયું લઈ ઓંશરીનાં પગથિયાં ઉતરતી હોય ત્યાં “શ્યામલી” [ગાયનું નામ] વગર વાછરુંએ પારહોઈ જાય છે અને શેલો વાળે વાળે ત્યાં દૂધની શેડ્યો ચાલુ થઈ જાય છે ! આજે પણ એવું હેત ગાયો પાસેથી અમે પામીએ છીએ.
અરે, જેના કંધોલે આ દેશની ખેતીનો ભાર છે એવાં ધીંગાધોરી પણ ગાયમાતાનાં જ ફરજંદ છે ને ! છીછરી-ઊંડી ખેડ, વાવણી, આંતરખેડ, કૂવામાંથી પાણી ખેંચવું, ગાડે જૂતી માલ વહન કરવો, ગામગામતરે જવું કે દીકરાની જાન જોડવા સુધીમાં ક્યાંય કશાયે ખર્ચ વિના તમામ કામો થતાં. ઉર્જા પાછળ ડીઝલનો ખર્ચ નહોતો. ધુમાડાથી બચાતું. પર્યાવરણની રક્ષા આપોઆપ થતી. બળદની સૌને મન કિંમત હતી. બાર બાર ને પંદર વીસ ધર [વરસ] હાલેલ બળદના ગઢપણ પળાતાં. આંગણે જ મૃત્યુ થતું. તમે માનશો ? મારા 20 ધર ચાલેલી વઢિયારા બળદની જોડી-એના મરી ગયા પછી 8 દિ’ ખાવું નહોતું ભાવ્યું. મેં એના મોકલી-શિંગડાંનો સેટ વરસો સુધી એની સ્મૃતિરૂપે ફરજામાં ટીંગાડી રાખેલો ! સદગત કુટંબીજનો માફક તેયે ભુલાતાં નથી.
તે દિવસોમાં સારા ઘેર સાયકલ અને મોભાદારને ઘેર “ભટભટિયું” [બાઇક] નજરે ચડતું. અહુર-સવાર વાડીએ આંટો જવું કે ગામ ગામતરે જવામાં ઘોડી જ હોંકારો આપતી. તેને નહોતી ચાલવા માટે સડકની જરૂર કે ટાંકીમાં પુરાતા પેટ્રોલની જરૂર ! ઘોડાની માલિક પ્રત્યેની વફાદારીના થોકબંધ સાચા પ્રસંગો ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારમાં વાંચવા મળે છે.
અને કૂતરું ? કૂતરું તો માણસનો પ્રેમ પારખનારું પ્રાણી છે. એને એકવાર આપણો વિશ્વાસ બેસી ગયો ? ખલ્લાસ ! એના તરફના પ્રેમના બે બુચકારા અને રોટલાનો ટુકડો જ બસ થઈ પડે ! એ કૂતરું આપણા ઘર-વાડીનો વગર પગારનો વફાદાર રખોપિયો છે. તમે જુઓ ! તે વખતે દરેક ઘેર ગૃહિણીઓ પહેલી રોટલી ગાય માટેની અને છેલ્લી રોટલી કૂતરા માટેની કાયમ ઘડતી. અરે ! કૂતરાને ખાવા તો ખાસ “લાડવા” બનાવવાનો શિરસ્તો તમામ ગામડાંઓમાં આજે યે સચવાઈ રહ્યો છે. આજેય અમારી વાડીનો કૂતરો “મગળિયો” વાડીમાં નીલગાય, ભૂંડ કે શિયાળિયાંને દેખી ગયો ? તગડે પાર કરે ! અરે દરવાજે કોઇ રેઢિયાર ઢોરું નજરે ચડે કે અહુર-સવાર વેળા ક વેળા કોઇ કાવરુ માણસની હલચલની ગંધ આવી જાય, પછી એને ભસતા ભસતા પાછળ પડી દૂર કર્યા વિના શાંત થઈ જાય તો એને પહેરેગીર કહેવો કેમ ? અને એને સમજણ પાછી પૂરતી કે વાડીમાં આંટા મારતા વાડીના મોર-ઢેલ, બિલ્લી કે પંખી સુદ્ધાંને વતાવે નહી. મફતમાં જ એના પ્રેમ-વફાદારી ખેતર વાડીને મળી રહ્યાં ગણાયને!
ખેતીમાં ઝીણાં જીવો થકી બહુ મોટું કામ થાય છે:
ભગવાન શંકરે “સાપ” ને ગળાનો હાર ગણ્યો અને એના દિકરા ગણેશજીએ “ઉંદર” ને પોતાનું વાહન ગણ્યું ! એકબીજાને ઊભાએ ભડે નહીં, છતાં પ્રકૃતિને બન્નેની જરૂર જણાઇ હશે એટલે જ બન્નેનું મહત્વ આંક્યું હશેને ! સાપની તો બહુબધી જાતો છે. એ બધાનું કામ ખેતીપાકોને ખુબ નુકશાન કરતા ઉંદરડાંઓ અને અન્ય જીવડાંઓના ત્રાસને કાબુમાં રાખવાનું હોવાથી, તેની અગત્યતા પારખીને જ તો વડવાઓએ નાગપાંચમે તેની પૂજા કરવાનું ગોઠવ્યું હશેને ?
“દેડકાં” ને જોતાં ચીતરી ચડે. કારણ કે પીઠ ખરબચડી ને ગંદી-ચીકણું પ્રવાહી ચેટેલું હોઇ ગમતા નથી. એનો સ્વભાવ કુદરતે એવો ઘડ્યો છે કે એને કાદવ ખુબ ગમે ! પણ એમાં એનો બિચારાનો શો વાંક ? જેના વખાણ કરતાં ધરાતા ન હોઇએ તેવી એક લાખ રોકડા આપી ખેરીદી લાવેલી અને નવારીને ચોખ્ખી કરેલી નવસુંદરી ભેંશ પણ ગંદુપાણી કે કાદવ ભાળી ભસ કરતી બેસી નથી પડતી ? દેડકાંઓ ખેતીપાકને નડતાં-રંજાડતાં અસંખ્ય જીવડાંઓને ઓહિયા કરી જનારા હોઇ, ફિલીપાઇંસમાં તો દેડકાંઓની વધુ હરફરવાળા વિસ્તારમાં રોડ પર રીતસર “વાહન ધીમે હાંકો-અહીં દેડકાં પસાર થાય છે” એવી સુચના લખેલ હોયછે.
ખેતીપાકોમાં ભમતાં કીડી-મકોડા-કાચિંડા-ઘો-ગરોળી-ભોફિંડા જેવા બધાં જ જીવો માંસાહારી છે. જીવડું મળે ત્યાં સુધી બીજું એ ખાતા નથી. કહેવાય છે કે કીડીનું નાક અને ગરજની આંખ બહુ બળિયાવર ! ગાઉના ગાઉથી “ખાજ” ગરજાની નજરે ચડી જાય અને કીડીને એની વાસ આવી જાય ! કીડી માંસાહારી છે. તે પોતાના વજનથી પચાસગણો વજનદાર પદાર્થ ઢસડી શકે ! સડેલી વસ્તુની ગંધ કીડીને આવી જાય. મોટાભાગના મરેલા જીવોની અંતેષ્ઠી કીડીઓ કરે છે. કીડીઓ ન હોય તો ધરતી ગંધાઈ ઊઠે ! ખેતીપાકોમાં ઝીણી મોલો-મસી, મધિયો, ચીટકો અને તેના બચ્ચાંનો સફાયો કીડીઓ આસાનીથી કરી શકે છે. કીડીઓ ખેતીપાકને ક્યાંય સહેજ પણ નડતરરૂપ નથી. એટલે તો એને બચાવવા જ્યારે ખોરાકની ખૂબ ખેંચ હોય તેવા ચૈત્ર મહિનામાં લોટ-ગોળ-તેલ-ઘીના કીડિયારાં પૂરાતાં.
“અળસિયું” તો ખેડૂતનું મિત્ર-ધરતીનું “હળ” ગણાય. જે માટી અને કચરો ખાઇ, હગારરૂપે વિવિધ તત્વોથી ભરપૂર એવો વનસ્પતિ માટે પોષક આહાર પૂરો પાડવા ઉપરાંત જમીનના નીચલા થરાના તત્વોને ઉપર ખેંચી લાવી, વધુકા પાણીને નીચે ઉતરી શકે અને ખેતીપાકના મૂળિયાંને હવા અવકાશની અનુકૂળતા થાય તે અર્થે તેની ઉપર-નીચે આવન-જાવન વખતના સ્થિર થઈ રહેલા દર- નાળો બનાવી જમીનને પોચારો બક્ષનાર અળસિયાં વગર ખર્ચે ખેતીપાકોને બહુ મોટું યોગદાન આપી રહેલ છે. ઉપરાંત જમીનના ગુણધર્મોની સાચવણ કરી જીવંતતા બક્ષનાર ગણ્યા ગણાય નહીં એટલી સંખ્યામાં સુક્ષ્મજીવો જમીનમાં વસતાં હોય છે.જે બધા જમીનમાં અલભ્ય સ્વરૂપે પડેલા પોષકદ્રવ્યોનું રાંધણું કરી પાકના મૂળિયાંને મિજબાની કરાવવામાં જ રત હોય છે
ખેતીનો વ્યવસાય એટલે છોડવા અને ઝાડવાની ગોવાળી કરવાનો. વનસ્પતિ તેની નવી પેઢી માટે બાળક [બીજ] ના જન્મ માટે નર-માદા અંગોના મિલન માણસ કે પશુ-પંખીની જેમ નથી કરાવી શકતી. આ માટે અગત્યનું યોગદાન પ્રકૃતિદત પવનનું અને એના પછીનું કામ મધમાખી અને કીટ-પતંગિયાનું જ હોય છે. એમાંયે “મધમાખી” તો માખી જગતનો સર્વશ્રેષ્ઠ જીવ છે. એક છોડથી બીજે છોડ પરાગરજ પહોંચાડવા ઉપરાંત માનવ તંદુરસ્તી માટે પોષક એવા મીઠામધની ઉત્પાદન ફેક્ટરીના સંચાલકો ગણાય.ખલેલાં.રાય,જીરુ,ધાણા,અજમા,વરિયાળી જેવા પાકોમાંતો એમની હરફર થકી બીજના બંધારણના સંયોગો રચાતા હોય છે.
ઝાડવાના ઘેરામાં કે ઉંચા કપાસમાં આંટો મારતાં મોઢે ઝાળું ભટકાય એટલે સમજી જવાનું કે ઉડતી ઝીણી જીવાંત પકડવા પોતાની લાળથી બનાવેલ આ “પાહલો” કરોળિયાભાઇનો જ છે ! ગમે તેટલી વાર ઝાળું વિંખાઈ જાય, થાક્યા વિના ફરી બનાવ્યે પાર કરે. આ ઝાળાં-રચના પણ મધપૂડાની રચનાની જેમ એક આર્કિટેકને ગુંચવાડામાં નાખી દે તેવી ગજબની ગુંથણીવાળી હોય છે, હિંમત હાર્યા વિના પુરુષાર્થ કર્યે જવાનું ઉદાહરણ કરોળિયાનું અપાય છે.. “કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય,વણ તૂટેલે તાંતણે ઉપર ચઢવા જાય” આપણા ખેતીકામને હું કરોળિયાના જાળા સાથે સરખાવું છું. કેટલીય તલ્લિનતા અને મહેનત પછી આ બન્નેના સર્જનો થાય છે. છતાં આવનારા પ્રતિકૂળ સંજોગો તેને હતા ન હોતા કરી નાખે છે. છતાં ફરી એજ તલ્લિનતા અને મહેનતથી નવસર્જનમાં બન્ને જણા લાગી જાય છે.
નિરખજો ક્યારેક નિરાંતવા થઈને ! ઢાલિયા, ક્રાયસોપા, ટ્રાઇકોગામા ભમરી-ફુદડી વગેરે પણ મોલાતોમાં ફરી એના ગજા પ્રમાણે કેટલીય નુકશાન કારક જીવાતોના ઇંડા અને બચ્ચાંને ખોરાક બનાવી ખેતીપાકનું સંરક્ષણ કરતી હોય છે.
ખેતીમાં પંખીઓનું યોગદાન :
કોઇ ગામનું પાદર પંખીઓને ચણ નાખવાના પંખીઘર વિનાનું નથી હોતું. કુટુંબના સારા-માઠા પ્રસંગે “કબુતરની જુવાર” ની રકમ જૂદી મૂકી દેવાય છે. આ પંખીઓ પ્રત્યેના આપણો પ્રેમ જ બતાવે છે ને ? અરે, સીતાહરણ પ્રસંગે રાવણ પાસેથી સીતાજીને છોડાવવા પોતાના દેહનું બલિદાન આપનાર જટાયુ એક પક્ષી ગીધ જ હતાને ? આ પ્રસંગ દ્વારા પંખી અને માનવ-સમાજ વચ્ચે આત્મીયતાભર્યા સંબંધની ઇતિહાસ પણ શાખ પૂરે છે.
જ્યારે ખેતીપાકો પર ઇયળોનો ઉપદ્રવ ફાટી નીકળ્યો ત્યારે “વૈયા”ની ટુકડીઓ ઉતરી પડતી હોય, જમીન ઉલટસુલટ થાય તેવા કરાતા કોઇપણ ખેતીકામ વખતે “બગલાં”-”કાબર” જેવા કેટલાય પક્ષીઓ સાંતીની પાછળ દોડાદોડી કરી બસ જીવાતોને વિણી ખાવાનું કામ કરતી હોય છે. અરે ! મોલાતમાં પિયત થતું હોય કે ગાય-બળદ જેવા ઢોરાં બેઠાં બેઠાં પોરો ખાતા હોય ત્યારે કાબર-બગલાં તો તેના શરીર ઉપરેથી લાણ- ઇતરડી-ગિંગોડા જેવાને શોધી શોધી પશુઓનો અસો દૂર કરવામાં રત હોય છે.
ગાય-બળદના શિંગડે કે કોંટે બેસી સીસોટીયુ વગાડનાર “કાળિયોકોશી” ઉડતા જીવડાને પકડી ખાવાની અદકેરી આવડતવાળો છે તો “તેત્તર-બટાવરાં” અને “ટીટોડી” વળી જમીન ખોતરી અંદરથી ઉધઈ જેવી નુકશાન કરતી જીવાતોનો સફાયો કરવામાં રોકાયેલ હોય છે. અરે, “ઘુવડ અને ચીબરી” તો રાતના રખેવાળ ! ઘરચકલી, દેવચકલી, મામાનાઘોડા, કાગડિયો કુંભાર, કુકડાં, સુગરી જેવાં બધાં જ પક્ષીઓ માંસાહારી હોઇ, જીવાતો જ શોધ્યા કરતા હોય છે. શ્રાધ વખતે નખાતી “કાગવાસ” એ શું છે ? કાગડાના બચ્ચાં-કાગોલિયાંને ખોરાકપૂર્તિ માટેની એક રીત જ છે ભલા ! બીજે ભલે કાગડા ન દેખાતા હોય, આવો અમારી વાડીએ, સાંજે પોણોસો કાગડા ભેળા થયેલા દેખાડું ! અરે, અમારા પંચવટીબાગમાં તો 35-40 જેટલી મોર-ઢેલની સંખ્યા વાડીમાં ફર્યા કરી જીવાતો વિણવાનું જ કામ કર્યા કરતી કોય છે. બધાના રૂપ, રંગ,આકાર, બોલી, વર્તણુંક ભલે જુદા જુદા રહ્યા હોય,પણ મોટાભાગના પંખીઓ ખેતીમાં ભમતી-ફરતી-ઉડતી જીવાતો પર નભી તેમનું જીવન ગુજારતા હોય છે.
વૃક્ષો ભજવે ભાગ પર્યાવરણરણ સમતૂલાનો :
”વૃક્ષો” ને આપણે સમગ્ર વનસ્પતિ સૃષ્ટિનું પ્રતિક માન્યું છે.ખેતીનો વ્યવસાય વનસ્પતિના કંધોલે બેઠેલ વ્યવસાય છે. ખેતીમાંથી વૃક્ષોની-કહોને વનસ્પતિની બાદબાકી કરી દઈએ તો એકડા વગરના એકલા મીંડા જેવું જ ગણાય ! ફળો, ગુંદર, લાકડકૂકડ, છાંયો, ખાતર, રંગ, મીણ, મધ જેવી પેદાશો ઉપરાંત વાતાવરણમાં ઠંડક અને પ્રાણવાયુનું ઉમેરણ–વૃક્ષો દ્વારા પ્રાણીસૃષ્ટિને સહજ અને મફત મળતા લાભો છે.એનું મહત્વ સમજીને જ “વૃક્ષમાં વાસુદેવ”,-”પીપળો એટલે સરવણાનું વૃક્ષ”,-“આંકડો તો હનુમાનજીનું વહાલું વૃક્ષ,”-“ખીજડો કાપીએ તો મામો વળગે” વગેરે ઉક્તિઓ વૃક્ષોને ધાર્મિક રક્ષણ આપવા કાજે જ પ્રચલીત થઈ હોવી જોઇએ એવું નથી લાગતું આપને ?.
સારનો સાર :
સારનો સાર એટલો જ કે ઉપર વર્ણવ્યા એ બધા જ પશુ, પક્ષીઓ, ધરતી પર અને મોલાતમાં ફરતા ભમતા મધમાખી અને કીટપતંગિયા, જમીનની અંદર કાર્યરત અળસિયાં અને અગણિત સંખ્યામાં વસેલા સુક્ષ્મજીવો, વૃક્ષો સુદ્ધાંનું પર્યાવરણ રક્ષા અને જીવ સૃષ્ટિને ઉપયોગી થવામાં કોઇપણ જાતનો ચાર્જ લીધા વિના એમના યોગદાનો પોતપોતાની રીતે ચાલુ જ હોય છે. તમામ પશુ-પંખીઓ સાથે ખેતીને જેટલો સીધો સંબંધ છે તેવો બીજાકોઇ વ્યવસાયને નથી.એ દરેકની વિશિષ્ટ શક્તિ અને સદગુણ જો વ્યક્તિની દ્રષ્ટિ ગુણગ્રાહકની હોય તો જીવન ઘડતર માટેનો બહુ મોટો પ્રેરકપાઠ બની રહે છે.
પણ…….
આજે ગાયોની થઈ રહેલી અવહેલના, તેનાં નરબચ્ચાં અને બળદોને રેઢિયાર બનાવી રખડતાં મેલી દઈ, જે ડીઝલ માગે, ઓઇલ માગે, ટ્યુબ-ટાયરનો ઘસારો માગે, ધુમાડો ઓકે, ભીની જમીનમાં ટૉર લગાડે અને ખર્ચ વધારવા ઉપરાંત પર્યાવરણ બગાડે એવા યંત્રો તરફની વિનાશી દોટ અને રા.ફર્ટિલાઇઝરોનું જમીનમાં આડેધડનું ઊમેરણ, પાકસંરક્ષણના બહાના હેઠળ ઝેરીલી પેસ્ટીસાઈડ્ઝનાં ફુંકાતા ફુવારા, તથા ઊંડા તળના મોળાં-ભાંભળાં-ખારાં-ઉનાં ફળફળતાં પ્રવાહી પિયતમાં આપી, જમીનની અંદર વસેલા સુક્ષ્મજીવો, મોલમાં ફરતા મિત્રકીટકો, અને પંખીઓ-બધાંનો સોથ વાળી રહ્યા છીએ અને શેઢે-પાળેથી પણ વૃક્ષને મૂળ સમેત ઉખાડી સમૂળગો વંશ કાઢી નાખવાના જે વિધાતક કાર્યક્રમો આદર્યા છે તેને બંધ કરી શકીએ તો તો ભાયડા કહેવાઈએ ! પણ એ બાબતે વિવેક દાખવતા થઈ જઈએ તો પણ જૈવ વિવિધતાને ચિરંજીવ બનાવવામાં મદદગારી કરી કહેવાશે હો મિત્રો ! વિચારજો.
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
